SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

ફોટા વાયરલ કરી દેવા આપી ધમકી:રાજકોટમાં મુકબધીર સગીરાને બગીચામાં લઇ જઇ પાડોશમાં રહેતી સહેલીના મિત્રએ અડપલા કરી ફોટા પાડી રૂ.7.70 લાખ પડાવ્યા

રાજકોટ શહેરમાં રહેતી મુકબધીર સગીરાને બગીચામાં લઇ જઇ પાડોશી સગીરાએ અને તેમના મિત્ર સાથે મળી સગીરાના બિભત્સ ફોટા પાડી બ્લેકમેઇલ કરી ઘરમાં રહેલા રૂ.7.70 લાખ બળજબરીથી કઢાવી લેતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં યુવક અને સગીરા વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં આરોપી યુવક અને તેની મિત્ર સગીરાએ ભોગબનનાર સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી જેના પગલે ડરી ગયેલી સગીરાની માતાએ પૂછપરછ કરતા હક્કિત જણાવી હતી. આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી બંન્નેને સંકજામાં લઇ રૂપિયા રિકવર કરવા તજવીજ હાથ ધરી છે. 7.70 લાખ રૂપિયા ઘરની અંદર સેટીમાં રાખ્યા હતા રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા 31 વર્ષીય મહિલાએ પાડોશમાં રહેતી સગીરા અને તેમના મિત્ર રૂત્વીક સામે પોક્સો અને બળજબરીથી પૈસા પડાવવા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષની દીકરી છે જે બોલી કે સાંભળી શકતી નથી. ગત તા.4 ડિસેમ્બરથી 3 દિવસ સુધી તેમના મોટા દીકરા અને જેઠની દીકરીના લગ્ન હતા. જે લગ્નના ખર્ચ માટે જેઠના દીકરાએ તેમને 27.09.2025ના રોજ 7.70 લાખ રૂપિયા આપ્યા હતા. જે પૈસા તેમણે ઘરની સેટીમાં મુક્યા હતા ત્યારે મુકબધીર દીકરી ઘરમાં હાજર હતી. ત્યારબાદ ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ સાંજના સમયે જેઠના દીકરાએ પૈસા પરત માંગતા સેટીમાં જોયું તો પૈસા ગાયબ હતા જેથી આ મામલે ઘરના સભ્યોને જાણ કરવામાં આવી હતી અને ઘરમાં શોધખોળ કરી છતા પૈસા મળ્યા ન હતા. લગ્નપ્રસંગ પૂરો થતા મુકબધીર દીકરીને પૂછતા તેમણે સાંકેતીક ભાષામાં જણાવ્યુ હતું કે, પાડોશમાં રહેતી સગીરા તેમજ તેમનો મિત્ર રૂત્વીકની સાથે તેમના કહેવાથી ઘર પાસે આવેલા બગીચે ગઇ હતી અને ત્યાં આ પડોશમાં રહેતી સગીરાર ભોગબનનાર સગીરા અને રૂત્વીકનો સાથે હોય તેવો ફોટો પાડયો હતો. આ સમયે રૂત્વીકે શરીરે અડપલા કર્યા હતા. પોલીસે આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી આ વાત કોઇને કઇશ તો તારા ફોટા તારા માતા-પિતા અને સગા સંબંધીને વાયરલ કરી દઇશ તેમ કહી ધમકી આપી કટકે કટકે બળજબરીથી ઘરમાં રહેલા 7.70 લાખ પડાવી લીધા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે સગીરા અને તેમના મિત્ર રૂત્વીકને સંકજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 3:27 pm

ડાંગના ગોટીયામાળમાં આંબાના ઝાડ પર બે દીપડાં દેખાયા:લડાઈના દ્રશ્યથી ગ્રામજનોમાં ચિંતા, વન વિભાગને જાણ કરાઈ

ડાંગ જિલ્લાના ગોટીયામાળ ગામ ખાતે ચાર રસ્તા નજીક એક આંબાના ઝાડ પર બે દીપડાં લડતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને સ્થાનિક ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બંને દીપડાં આંબાના ઝાડ પર એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો અચાનક થંભી ગયા હતા. કેટલાક ગ્રામજનો રોજિંદા કામ માટે બહાર નીકળ્યા ત્યારે ઝાડ પરથી અવાજો સાંભળીને તેમનું ધ્યાન ગયું હતું. સુરક્ષાના કારણોસર લોકોએ દૂરથી જ આ દ્રશ્ય નિહાળ્યું હતું અને તાત્કાલિક અન્ય લોકોને ચેતવણી આપી હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાં વસતી વિસ્તારો નજીક અવારનવાર દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જંગલ વિસ્તારની નજીક આવેલા ગામોમાં દીપડાંની હાજરી હવે સામાન્ય બની રહી છે, જે ગ્રામજનો માટે સતત ચિંતાનો વિષય છે. ગોટીયામાળ ગામમાં દીપડાં દેખાતા લોકોમાં ભયનો માહોલ છે અને રાત્રિના સમયે બહાર નીકળવામાં તેઓ સંકોચ અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહાલ ગામના સીમ વિસ્તારમાં દીપડાના હુમલામાં એક બાળકનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાએ સમગ્ર ડાંગ જિલ્લામાં ભયની લાગણી વધુ ઘેરી બનાવી છે. આ દુર્ઘટનાની યાદ તાજી હોવાના કારણે ગોટીયામાળમાં દીપડાં દેખાતા લોકો વધુ ગભરાઈ ગયા છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી છે અને દીપડાંના સતત દેખાવને લઈ કાયમી ઉકેલની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે વસતી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવું, પાંજરા મૂકવા અને રાત્રિ દરમિયાન નજર રાખવાની વ્યવસ્થા જરૂરી છે. વન વિભાગ દ્વારા પણ લોકોમાં સાવચેત રહેવા, બાળકોને એકલા બહાર ન મોકલવા અને રાત્રિના સમયે અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે. ડાંગમાં વધતા દીપડાંના બનાવોને લઈ સુરક્ષા અને માનવજીવનના સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ વધુ મજબૂત બની રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 3:24 pm

હિંમતનગર સ્વામી વિવેકાનંદ સર્કલ પર પોલીસ પોઇન્ટ મુકાયો:લોકદરબારમાં સ્થાનિકની રજૂઆત બાદ અમલ

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ પોઇન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા લોકદરબારમાં રજૂઆત કરાયા બાદ પોલીસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સર્કલ હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલું છે અને અહીં દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ સમસ્યાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ ટ્રાફિક સમસ્યા અંગેની રજૂઆત ૧૧ દિવસ પહેલા હિંમતનગર પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન કરાઈ હતી. આ લોકદરબાર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. લોકદરબારમાં મહેતાપુરા વિસ્તારના સ્થાનિક મહેશ શર્માએ સ્વામી વિવેકાનંદ સર્કલ પર ટ્રાફિક નિયમન માટે પોલીસ પોઇન્ટ મૂકવાનું સૂચન કર્યું હતું. તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી હતી. આ સૂચનના અમલ રૂપે, જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પોલીસ પોઇન્ટ મૂકીને ટ્રાફિક સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. સ્થાનિકોએ તેમના સૂચનનો અમલ થતાં આ પગલાંને આવકાર્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 3:24 pm

વાપીમાં કામદારોના શોષણ સામે કોંગ્રેસની 'આક્રોશ રેલી':સ્ત્રી-પુરુષને સમાન વેતન સહિત વિવિધ માંગ, અનંત પટેલે કહ્યું- અમે આપ-ભાજપમાં ગાબડું પાડવાની તૈયારીમાં

વલસાડ જિલ્લાના વાપી GIDC અને ગુંદલાવ વિસ્તારમાં કાર્યરત ખાનગી કંપનીઓના કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં વાપી શહેર અને પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશાળ 'આક્રોશ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નેતૃત્વ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કર્યું હતું. અનંત પટેલે કહ્યું કે, વર્ષ 2027માં કોંગ્રેસની જ સરકાર બનશે. અમે આપ-ભાજપમાં ગાબડું પાડવાની તૈયારીમાં છીએ. રેલી દરમિયાન કામદારોને થતા અન્યાયના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય અનંત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓ દ્વારા કામદારોનું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે. કામદારોની મુખ્ય માંગણીઓમાં સરકારી ધારાધોરણ મુજબ પૂરતું વેતન ન મળવું, સ્ત્રી અને પુરુષ કામદારોને સમાન વેતન આપવું, પી.એફ. (PF) ના પૈસામાં ગેરરીતિઓ, અકસ્માત સમયે યોગ્ય વળતરનો અભાવ, મૂળભૂત સુવિધાઓનો અભાવ અને ઓવરટાઇમનું યોગ્ય વળતર ન મળવું વગેરેનો સમાવેશ થાય છે. અનંત પટેલે જણાવ્યું કે, ઘણી કંપનીઓમાં શૌચાલય, કેન્ટીન અને વાહન પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. કામદારો પાસે વધુ કલાકો કામ કરાવીને તેમને ઓવરટાઇમનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. રેલી દરમિયાન અનંત પટેલે ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, 2027માં કોંગ્રેસની જ સરકાર બનશે. અમે પણ આપમાં અને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છીએ. જીતુભાઈને લાવીને ભાજપમાં ગાબડું પાડવાના છીએ. આપના આદિવાસી આગેવાનો સાથે પણ અમારી વાત ચાલુ છે. ટુંક સમયમાં તે લોકો જોડાઈ પણ જશે. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ ફરી કોંગ્રેસમાં જોડાશે તેવી વાતો ચાલી રહી છે. રેલીના અંતે કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા કામદારોએ વાપી નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને સત્તાધીશોને પોતાની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું હતું. કામદારોએ 'અમને અમારો હક આપો' અને 'લડશું અને જીતશું' જેવા બેનરો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 3:01 pm

આણંદમાં NRG SPET રત્ન એવોર્ડ પ્રદાન કરાયા:9 NRG SPET રત્ન અને 3 વિશેષ SPET રત્નથી સન્માનિત કરાયા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વિદેશમાં રહેતા ગુજરાતીઓને પડતી સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સ્તરે NRG ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને સોંપાયેલું NRG સેન્ટર, આણંદ આ ફાઉન્ડેશનની જિલ્લા સ્તરની શાખા છે. NRG સેન્ટર, આણંદ દ્વારા દર વર્ષે NRG MEETનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિદેશમાં રહીને પણ પોતાના દેશ અને રાજ્ય માટે નોંધપાત્ર યોગદાન આપનાર બિન-નિવાસી ગુજરાતીઓને NRG SPET રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે પણ NRG MEET અને પ્રતિષ્ઠિત NRG SPET રત્ન એવોર્ડ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. જેમાં કુલ 9 NRG SPET રત્ન એવોર્ડ અને 3 વિશેષ SPET રત્ન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા. NRG SPET રત્ન એવોર્ડથી સન્માનિત થયેલા મહાનુભાવોમાં સંદીપભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ (મેકદાદા), મુકેશભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ (સી. ઝેડ. પટેલ), રોહિતભાઈ પટેલ, રશ્મિકાંત ડોડા, ડૉ. અમિતભાઈ શેઠ, જીતુભાઈ પટેલ અને મોનાંક પટેલનો સમાવેશ થાય છે. ડૉ. હિમ્મતભાઈ પટેલ, ડૉ. મોહનભાઈ પટેલ અને ડૉ. પ્રતીક્ષા જે. પટેલને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ વિશેષ SPET રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. ભીખુભાઈ એન. પટેલને તેમના સતત માર્ગદર્શન, દૃઢ નેતૃત્વ અને અવિરત કર્મશીલતાને બિરદાવતાં તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બાદ બી.એન. પટેલ પ્રાયમરી સ્કૂલ અને બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય એકતાની ભાવના અને ગુજરાતની માટીની સુગંધને પ્રસ્તુત કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણેશદાસજી મહારાજ, વિશેષ અતિથિ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી તથા રાજપીપળાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ રમેશ પંચાલ હાજર રહ્યા હતા. DBS બેંકના ટ્રેઝરી હેડ ગૌરવ ડિગે, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત મેનેજિંગ ટ્રસ્ટી અન્વેષભાઈ પટેલ, સંયુક્ત મંત્રી રમેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ શાહ તથા મૃદુલાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને એવોર્ડીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ગણેશદાસજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર રહીને પણ સ્વદેશ અને પોતાની જન્મભૂમિ માટે સતત કાર્યરત રહેતા આ બિન-નિવાસી ગુજરાતીઓ ખરેખર ગૌરવ અને સન્માનને પાત્ર છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:55 pm

પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા સન્માન:ગૌ ભક્તો અને 75 વર્ષથી વધુ વયના વડીલોનું કરાયું સન્માન

પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ગૌ ભક્તો અને વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનાવાડા ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલી શ્રીમદ ભાગવત કથાના મુખ્ય આયોજક ચેતનભાઈ રામશંકર વ્યાસ અને ગૌશાળા સંચાલક દિનેશભાઈ જોશીનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત, કાઉન્સિલના 75 વર્ષ પૂર્ણ કરનાર વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતભાઈ નાઈએ જણાવ્યું હતું કે, સંસ્થામાં એકબીજા પ્રત્યેનો ભાવ જોઈને આનંદ થાય છે. તેમણે વડીલોને અનુભવનું ભાથું અને ઘરના છાપરા સમાન ગણાવ્યા હતા. નાઈએ ઉમેર્યું કે, જેમ છાપરું ઘરને સુરક્ષા આપે છે, તેમ વડીલોની હાજરીમાં આખો પરિવાર સુરક્ષા અનુભવે છે. કાઉન્સિલના પ્રમુખ રમેશભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગૌભક્ત ચેતનકુમાર રામશંકર વ્યાસ અને હરિઓમ ગૌશાળાના દિનેશભાઈ જોશીનું વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ચેતનભાઈ વ્યાસ અને દિનેશભાઈ જોશીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચેતનભાઈ વ્યાસે સંસ્થાને આર્થિક યોગદાન પણ આપ્યું હતું. પાટણના મહાકાળી મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે આશીર્વાદ પાઠવ્યા હતા. 75 વર્ષ પૂર્ણ કરનાર વડીલોને વિવિધ ભેટો આપી સન્માનિત કરાયા હતા. શાહ ભૂપેન્દ્રભાઈએ સ્મૃતિચિન્હ, પટેલ પ્રહલાદભાઈએ સ્ટીક, પટેલ વાલીબેને શાલ, પૂર્વ પ્રમુખ પટેલ મફતલાલે થેલી અને મહાદેવભાઈ મહેશ્વરીએ ધાર્મિક પુસ્તક ભેટ આપ્યા હતા. કાઉન્સિલનો પરિચય પૂર્વ પ્રમુખ રમણભાઈ પટેલે આપ્યો હતો. આ કાર્યક્રમમાં કાઉન્સિલના મંત્રી પ્રહલાદભાઈ પટેલ, કાળીદાસ પટેલ, કેવળદાસ પટેલ, પૂર્વ પ્રમુખ રમણભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, મહેન્દ્રભાઈ રાવલ, મૂળશંકર વ્યાસ, મોહનભાઈ પટેલ અને પ્રવીણભાઈ જોષી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભોજનના દાતા તરીકે પાટણના પટેલ રણછોડભાઈ પુંજાભાઈએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન આત્મારામભાઈ નાઈએ કર્યું હતું, જ્યારે અમૃતભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:53 pm

ડીજીપી વિકાસ સહાય નિવૃત્તિ પહેલા ગોધરા પહોંચ્યા:કારકિર્દીના પ્રથમ પોસ્ટિંગ સ્થળની મુલાકાત લીધી

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે નિવૃત્તિ પૂર્વે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાત લીધી હતી. આ સ્થળ તેમની કારકિર્દીનું પ્રથમ પોસ્ટિંગ સ્થળ હતું. ગોધરા સ્થિત એસ.પી. કચેરી ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાયે ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ વર્ષ 1991માં ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. લાંબા સમય બાદ તેઓ ફરી ગોધરા આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઇજી, પંચમહાલ જિલ્લાના પોલીસવડા, દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસવડા સહિત પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ડીજીપી વિકાસ સહાયે આ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરીની સમીક્ષા, ભવિષ્યની પડકારો અને જનસુરક્ષાને વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિકાસ સહાયે પોતાના અનુભવના આધારે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ દળની કાર્યક્ષમતા તથા શિસ્તની પ્રશંસા કરી હતી. નિવૃત્તિ પૂર્વે કારકિર્દીના પ્રારંભિક સ્થળની મુલાકાત લેતા, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગોધરા અને પંચમહાલ જિલ્લાના વિકાસમાં પોલીસ વિભાગની ભૂમિકા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:49 pm

એટ્રોસિટીમાં સમાધાનના વિરોધમાં અનુસૂચિત જાતિ સમાજ મેદાને:ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના 'સમાધાન'થી દલિત સમાજમાં રોષ, કલેક્ટરને આવેદન આપી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા કરી માંગ,

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના વિવાદે હવે નવો વળાંક લીધો છે.ગત 24 ડિસેમ્બરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ સમગ્ર સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કેસમાં કડક કાયદાકીય કાર્યવાહી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) ની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. થોડા સમય પૂર્વે જૂનાગઢ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ જાડેજા અને તેના સાથીદારો દ્વારા રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ગણેશ ગોંડલ સહિત 7 થી વધુ શખ્સો સામે IPCની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હુમલા બાદ દલિત સમાજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી અને આરોપીઓની ધરપકડ માટે મોટા પાયે આંદોલનો પણ થયા હતા. સમાધાનની વાતો વહેતી થતા સમાજમાં રોષ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગણેશ જાડેજા અને ફરિયાદી પક્ષ એટલે કે રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાના સમાચાર વહેતા થયા હતા. આ બાબતે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોનું કહેવું છે કે, એટ્રોસિટી એક્ટ એ સામાજિક સુરક્ષા માટેનો કાયદો છે અને તેમાં વ્યક્તિગત રીતે સમાધાન કરવાની કોઈ જોગવાઈ નથી. સમાજનું માનવું છે કે આ પ્રકારના ગંભીર ગુનામાં જો સમાધાન સ્વીકારવામાં આવે તો ભવિષ્યમાં ગુનેગારોનો ભય ઓછો થઈ જશે. અનુ.જાતિ સમાજની સ્પેશિયલ PPની નિમણૂકની માંગ જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મુછડીયાએ જણાવ્યું હતું કે અમે કલેક્ટરને આવેદન આપી માંગ કરી છે કે આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે. સોશિયલ મીડિયામાં જે સમાધાનના વીડિયો વાયરલ થયા છે, તેને પણ પુરાવા તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે જેથી કાયદાકીય પ્રક્રિયામાં કોઈ બાંધછોડ ન થાય. આરોપીઓને નમૂનારૂપ સજા થાય તે અત્યંત જરૂરી છે. કાયદાના નિષ્ણાંતો મુજબ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓ નોન-કમ્પાઉન્ડેબલ (બિન-સમાધાનપાત્ર) હોય છે. ફરિયાદી ભલે મૌખિક રીતે સમાધાનની વાત કરે, પરંતુ કોર્ટમાં કેસ ચાલુ રહે છે. જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજનું કહેવું છે કે આ કેસ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો નથી, પણ સમગ્ર સમાજના સ્વાભિમાનનો છે. જો ફરિયાદી પક્ષ દબાણમાં આવીને કે અન્ય કોઈ કારણસર નરમ પડે તો પણ ન્યાયતંત્રએ આરોપીઓ સામે કડક વલણ અપનાવવું જોઈએ. હાલ તો આ આવેદનપત્ર બાદ તંત્ર અને સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. બીજી તરફ, રાજુ સોલંકી દ્વારા કરવામાં આવેલા સમાધાનના વિરોધમાં સોશિયલ મીડિયા પર સમાજના લોકો દ્વારા અનેક વીડિયો વાયરલ કરીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ કેસ હવે રાજકીય અને સામાજિક રીતે વધુ ગરમાયો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:48 pm

ચાવડીગેટ-કુંભારવાડા અંડરબ્રિજ રોડનું કામ ત્રણ મહિનાથી ઠપ્પ:ફરી દબાણ થવા લાગ્યા, 'ચૂંટણી સુધી આ રોડ સારા રહેશે, પછી તૂટી જશે':કોગ્રેસ પૂર્વ પ્રમુખ

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અંદાજિત 2થી 3 વર્ષ પહેલા ચાવડીગેઇટ પીજીવીસીએલ કચેરીથી કુંભારવાડા અંડરબ્રિજ સુધી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેજ સ્થળ પર નવો રોડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. પણ તે કામ એક સાઈડ રોડ અને ડિવાઈડર બનાવી અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. અંદાજિત છેલ્લા 2 માસથી વધુ સમય થયા બાદ પણ કામકાજ બંધ પડ્યું છે. જેથી જે લોકોનું અગાવ આ વિસ્તારમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું તે લોકોએ ફરી આ વિસ્તારમાં વસવાટ શરૂ કરી દીધો છે. ત્યારે આ રોડનું કામ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ભાવનગર શહેરના ચાવડીગેટ ચોકથી કુંભારવાડા રેલવે અંડર બ્રિજને જોડતા માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા બેથી ત્રણ વર્ષ પહેલા આ રોડ પર ખડકાયેલા 50થી વધુ ગેરકાયદે રહેણાંક ધરાવતા કાચાપાકા બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું. ત્યારબાદ અહીં રોડ બનાવવા ખોદકામ કરવામાં આવ્યું હતું, તેમજ વચ્ચે ડીવાઈડર બનાવી રસ્તાને બે માર્ગીય બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સામસામા વાહનો પસાર થતા અકસ્માતની સંભાવના પરંતુ લાંબો સમય વીતવા છતાં અહીં હજુ સુધી મનપા દ્વારા એક તરફનો રોડ બનાવવામાં જ નથી આવ્યો, એક રોડ ચાલુ હોય સામસામા વાહનો પસાર થતા અકસ્માતની પણ સંભાવના વધી રહી છે, જ્યારે અહીં રહેતા લોકો ફરી પુનઃ દબાણ કરવાનું શરૂ કરી ગ્રાઉટીંગ કરેલા રોડ પર જ ધામા નાખી વસવાટ શરૂ કરી દીધો છે. કોગ્રેસના મનપા પર પ્રહારત્યારે આ બાબતે કોગ્રેસ પક્ષે મનપાના શાસકો દ્વારા શહેરમાં ચાલતા એક પણ કામ સમય મર્યાદામાં પૂર્ણ નથી થઈ રહ્યા અને ચૂંટણીને લક્ષમાં રાખીને કામ કરી રહ્યાના તીખા પ્રહારો કરવામાં આવ્યા છે. જ્યારે મનપાના સ્ટેન્ડિંગ ચેરમેનને માન્યું કે આ રોડનું કામમાં વિલંબ થયો છે અને થોડા પ્રશ્નો હતા તેનું નિરાકરણ કરી વહેલી તકે કામ પૂર્ણ કરવાનું જણાવી રહ્યા છે 'પહેલાં એકદમ મોટો રોડ અને આગળ જતા એકદમ ટૂંકો રોડ'ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા છે. રોડનું કામ થવું જોઈએ, અમે પણ માનીએ છીએ, પણ પહેલાં એકદમ મોટો રોડ અને આગળ જતા એકદમ ટૂંકો રોડ. બાજુમાં ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસ છે. તેની ફાજલ જગ્યા પણ પડી છે. કદાચ સરકાર, કોર્પોરેશનમાં એની, રાજ્ય સરકારમાં એની, કેન્દ્રમાં પણ એની સરકાર છે. એ જગ્યા લેવામાં આવે તો કુંભારવાડા અંડરબ્રિજ સુધીનો સારો એવો રોડ થઇ શકે એમ છે. પણ એવું લાગે છે આ રોડ ફક્ત આમનમ યથાવત રાખ્યો છે. 'રોડના કામો થઈ રહ્યા છે, પણ સમય મર્યાદામાં એક પણ કામ થતું નથી'તેને વધુમાં કહ્યું કે, અનેક અકસ્માતો થયા છે અને રોડ બન્યો ત્યાં પુનઃ વસવાટ શરૂ થઈ ગયો છે. કમનસીબે આ શાસકો અને અધિકારીનું ધ્યાન ત્યાં જતું નથી. પણ આગામી ચૂંટણી આવી રહી છે એને લક્ષમાં રાખીને અત્યારે ભાવનગરમાં આડેધડ રોડના કામો થયા છે. રોડ ઉપર રોડના કામો થઈ રહ્યા છે, પણ સમય મર્યાદામાં એક પણ કામ થતું નથી. અત્યારે ચૂંટણી આવે છે એટલે એવું માનું છું કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગરના રોડ રસ્તામાં વાપરવાના છે. એવું લાગે છે કે આ રૂપિયા બગાડી રહ્યા છે. ફક્ત ચૂંટણી સુધી આ રોડ સારા રહેશે, પછી આ રોડ તૂટી જશે. ડિમોલેશન કરીને અનેક રોડ ખોલવામાં આવ્યાભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા જણાવ્યું હતું કે, કોઈ પણ કામ મહાનગરપાલિકા કરે છે ત્યારે પ્લાનિંગ સાથે કામ કરી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના રોડ રસ્તામાં કનેક્ટિવિટીમાં સુધારો થાય અને કનક્ટિવિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં એવા અભિગમ સાથે ભાવનગરમાં ઐતિહાસિક રીતે ડિમોલેશન કરીને અનેક રોડ ખોલવામાં આવ્યા છે. ખાસ કરીને 18 મીટરનો રોડ હોય, 24 મીટરનો રોડ હોય, 36 મીટરનો રોડ હોય, આ તમામ જગ્યાએ ડિમોલેશન કરીને લોકોની કનેક્ટિવિટી અને લોકોની મોટરેબલ જે વ્યવસ્થાઓ છે, ચાલવા માટેની એની સુવિધામાં વધારો થાય એના કામો થયા છે. 'જેમજેમ બીડ ખુલતા ગયા છે તેમ કામગીરી થતી રહીએના ભાગરૂપે ચાવડીગેટ વિસ્તારની અંદર ચાવડીગેટ પીજીવીસીએલની કચેરીથી કુંભારવાડા અંડર બ્રિજ સુધી મનપાએ ખૂબ મોટું ડિમોલેશન કર્યું છે. આ ડિમોલિશન બાદ ત્યાં મેટલ ગ્રાઉન્ટિંગ કરવાનું કામ પૂર્ણ કર્યું છે, સાથે ડિવાઈડરનું કામ પૂર્ણ કર્યું છે. જેમજેમ બીડ ખુલતા ગયા છે તેમ કામગીરી થતી રહી છે. આગામી દિવસોમાં રી કાર્પેટ માટે થઈને તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:41 pm

લોકોના ગળા કાપતી ચાઈનીઝ દોરી ઝડપાઈ:માણસાના બિલોદરામાં એરંડાના ખેતરમાં પોલીસનો દરોડો, 2.88 લાખની જીવલેણ દોરીનો જથ્થો ઝડપાયો

ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે ગાંધીનગર પોલીસે લાલ આંખ કરી છે. માણસા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે બિલોદરા ગામની સીમમાં આવેલા એક એરંડાના ખેતરમાં દરોડો પાડી 2.88 લાખની કિંમતની કુલ 960 નંગ ચાઈનીઝ દોરીના રીલ જપ્ત કર્યા છે. જોકે પોલીસને જોઈ આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેતરમાં ચાલતા ચાઈનીઝ દોરીના વેચાણ પર દરોડોઉત્તરાયણ પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે ગાંધીનગર જિલ્લા પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે. માણસા પોલીસ સ્ટેશનના પીઆઇ રાકેશ ડામોરની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, બિલોદરા ગામનો દલપુજી અમાજી ઠાકોર નામનો શખ્સ મહેસાણા-હિંમતનગર હાઈવે પર ચડાસણા તરફ જતા રોડ પાસે આવેલા સર્વે નંબર 361 વાળા ખેતરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. પ્રતિબંધિત દોરીની 960 રીલ મળી આવીજે બાતમીના પગલે પોલીસ એરંડાના ખેતરમાં ત્રાટકી હતી. જ્યાં એરંડાના વાવેતરની વચ્ચે છુપાવેલા પ્લાસ્ટિકના 20 જેટલા કાર્ટૂન મળી આવ્યા હતા.બાદમાં પોલીસે કાર્ટૂન ખોલીને તપાસ કરતા તેમાંથી કુલ 960 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. જેની બજાર કિંમત મુજબ આ જથ્થાની કુલ કિંમત રૂ.2.88 લાખ જેટલી થાય છે. આરોપી પોલીસને જોઈ નાશી છૂટ્યોજોકે પોલીસના દરોડા દરમિયાન આરોપી દલપુજી ઠાકોર હાજર મળી આવ્યો ન હતો. આ તમામ જથ્થા પર 'મોનોફિલ ગોલ્ડ' એવું લખાણ હતું અને તે જાહેર જનતા તેમજ પશુપક્ષીઓ માટે અત્યંત જોખમી હોવાનું જણાયું હતું. ​જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને નાયલોન કે સેન્થેટીક મટીરીયલથી બનેલી દોરીના ઉત્પાદન અને વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં તેનું ઉલ્લંઘન કરવા બદલ માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:22 pm

ભરૂચના આઇકોનિક માર્ગ પર ગેરકાયદેસર પાર્કિંગ સામે કાર્યવાહી:એ-ડિવિઝન પોલીસે વાહનચાલકોને મેમો ફટકાર્યાં

ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયો હતો. આ આઇકોનિક માર્ગ પર કેટલાક વાહનચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા. જેના કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઊભી થતી હતી. અન્ય વાહનચાલકો અને પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એ-ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવ દરમિયાન, રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચના પણ અપાઈ હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, શહેરના મહત્વના માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરાશે. આનો ઉદ્દેશ્ય આઇકોનિક માર્ગ પરની વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:22 pm

મિતીયાજ ગામમાં સિંહ-સિંહણનો આતંક:વહેલી સવારે ગાભણ ગાયનું મારણ કર્યું, ખેડૂતોમાં ભય

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં આજે વહેલી સવારે સિંહ અને ત્રણ સિંહણોએ એક ગાભણ ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાથી ખેડૂત પરિવાર અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેડૂત મનુભાઈ રાણાભાઈ પરમાર સવારે લગભગ 5 વાગ્યે પોતાના પશુઓના દોહન માટે વાડા તરફ ગયા ત્યારે આ હુમલો થયો હતો. સિંહ-સિંહણો ગામની સીમ નજીક ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી ગ્રામજનોમાં ભયની લાગણી પ્રવર્તી રહી છે. ઘટનાની જાણ થતાં જ મિતીયાજ ગામના સરપંચ સુરપાલસિંહ બારડ અને સામાજિક કાર્યકર લલિત વાળા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગના અધિકારીઓને જાણ કરી. સરપંચ સુરપાલસિંહ બારડ અને લલિત વાળાએ વન વિભાગને તાત્કાલિક સર્વે કરી નુકસાન પામેલા ખેડૂતને યોગ્ય અને ઝડપી સહાય ચૂકવવાની માંગ કરી હતી. સાથે જ, ગામ આસપાસ ફરી રહેલા સિંહ-સિંહણોના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે જરૂરી પગલાં લેવા પણ વિનંતી કરી. આ ઘટનાને પગલે મિતીયાજ સહિત આજુબાજુના ગામોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. ગ્રામજનો દ્વારા રાત્રિ અને વહેલી સવારના સમયે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે, જ્યારે વન વિભાગ તરફથી આગળની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:21 pm

1.71 કરોડના દારુ પર રોલર ફેરવી દેવાયું, VIDEO:વડોદરાના 17 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલી દારૂ-બિયરની 50 હજારથી વધુ બોટલનો નાશ કરાતા રેલમછેલ

વડોદરા શહેર પોલીસે શહેરના 17 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા 1.71 કરોડની કિંમતની 50 હજારથી વધુ દારુ અને બિયરની બોટલોનો નાશ કર્યો હતો. આ સમયે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, ચારેય ઝોનના ડીસીપી, તમામ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનોના પીઆઇ હાજર રહ્યા હતા અને દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયા હતા. 50,000થી વધુ દારૂ-બિયરની બોટલનો નાશ કરાતા દારૂની રેલમછેલ જોવા મળીવડોદરા શહેરના છેવાડે આવેલ કોયલી ચેકપોસ્ટની સામે ખુલ્લા પ્લોટમાં દારુ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે પ્લોટમાં દારૂની રેલમછેલ થતી જોવા મળી હતી. જ્યાં જુઓ ત્યાં દારુ અને બિયરની બોટલો જોવા મળી હતી. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં વડોદરા શહેરમાં અલગ-અલગ રાજ્યોમાંથી દારૂનો સપ્લાય થાય છે. જો કે, વડોદરા શહેર પોલીસ એલર્ટ હોવાથી અવારનવાર દારૂનો જથ્થો પકડાય છે. વડોદરામાં વર્ષ 2025 દરમિયાન દારૂના 3200થી વધુ કેસવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન 3,200થી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા છે અને આ કેસોમાં સંડોવાયેલા આરોપીઓની તેટલી જ મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસોની તપાસ દરમિયાન અંદાજે ₹9.54 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આજે શહેરના 17 પોલીસ સ્ટેશનની હદમાં જપ્ત કરાયેલી 50,000 થી વધુ દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 1.71 કરોડ રૂપિયાથી વધુ થાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસે વર્ષ 2025 દરમિયાન 131થી વધુ રીઢા ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવામાં આવ્યા છે, જ્યારે 15 આરોપીઓને શહેરના કાર્યક્ષેત્રમાંથી તડીપાર કરવામાં આવ્યા છે. જેથી કરીને આ પ્રકારની પ્રવૃતિઓ પર નિયંત્રણ રહે. પ્રોહિબિશન એક્ટની કલમ 93 હેઠળ જે આરોપીઓએ જામીન લીધા બાદ શરતોનો ભંગ કર્યો હોય તેવા 89 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી દંડ પેટે 5.50 લાખ રૂપિયાથી વધુ રકમ વસૂલવામાં આવી છે. તેઓએ ઉમેર્યુ હતું કે, અલ્પુ સિંધી અને તેની ગેંગ જેવા સંગઠિત ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2025માં ઇન્ટેલિજન્સ ગેધરીંગ (બાતમીદારોનું નેટવર્ક) મજબૂત કરવું, બુટલેગિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાણીતા ગુનેગારો પર સતત નજર રાખવી અને દારૂનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને સેવન કરનાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને વર્ષ 2026માં પણ પોલીસ આ જ રીતે સક્રિય રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:17 pm

'જિગ્નેશ મેવાણી ગુજરાતમાં અનુસૂચિત જાતિને વશમાં લેવા માગે છે':દલિત સમાજના આગેવાનોએ સુત્રોચ્ચાર સાથે કાર્યાલયને તાળાબંધી કરી, પાટણ કોંગ્રેસમાં SC પ્રમુખની વરણી મુદ્દે રોષ

પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ (SC) વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયાને જણાવ્યું કે, જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ કોઈ કારણે થવા દેવાના નથી. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયાને જણાવ્યું કે, વરણી પ્રક્રિયામાં સેન્સ લેવાની પદ્ધતિને સંપૂર્ણપણે અવગણીને મરજી મુજબ કામ કરાયું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો દલિત સમાજમાં આંતરિક વર્ગીકરણ કરી અન્યાયની વાતો ઉપજાવી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં સમાજ એકજૂથ છે. તેમણે મેવાણી અને પીઠડિયા પર નિશાન સાધતા કહ્યું કે, તેમનો પ્રતિભાવ હંમેશા ઉડાઉ રહ્યો છે અને તેઓ જિલ્લાના પ્રતિનિધિઓને મળવા પણ તૈયાર નથી. હસમુખ સક્સેનાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી વરણીમાં તેમને રિપીટ ન કરાતા આ વિરોધ ઉભો થયો છે. સમાજના આગેવાનોના મતે, હસમુખ સક્સેનાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની પકડ SC મતદારોમાં મજબૂત બની હતી. જિલ્લાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સહિત લગભગ 250 આગેવાનોએ તેમને ફરીથી પ્રમુખ બનાવવાની ભલામણ કરી હતી, જેને પક્ષ દ્વારા અવગણવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ વિવાદના પગલે પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે દલિત સમાજના અગ્રણીઓની એક ચિંતન બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રમુખને પૂર્વ જાણકારી હોવા છતાં તેઓ ગેરહાજર રહેતા આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે, એકત્રિત થયેલા કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. પ્રદર્શનકારીઓએ જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનના અંતે આગેવાનોએ પક્ષને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ મુદ્દે આગામી 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાએ સમય આપ્યો છે. જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવાય અને ન્યાય નહીં મળે, તો પાટણ જિલ્લાના 1000 થી 2000 જેટલા દલિત આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા સોંપશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 2:11 pm

GIFT સિટીની GBU બની ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણનું રોલ મોડેલ:NITI આયોગના અહેવાલમાં ગુજરાતની અનોખી પહેલની નોંધ લેવાઈ

NITI આયોગ દ્વારા ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણ અંગે જાહેર કરાયેલા તાજેતરના અહેવાલમાં ગુજરાત સરકારની દૂરદૃષ્ટિપૂર્ણ પહેલને વિશેષ પ્રશંસા મળી છે. ગાંધીનગરની GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં સ્થાપિત કરાયેલી ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી (GBU)ને ભારતના ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટેનું સફળ અને પુનરાવર્તનીય મોડેલ ગણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને દેશમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તે માટે પહેલNEP-2020 અને ‘વિકસિત ભારત@2047’ના વિઝન પર આધારિત આ અહેવાલમાં જણાવાયું છે કે આજે એક વિદેશી વિદ્યાર્થી સામે 28 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દેશ બહાર જાય છે, જેના કારણે ભારતની GDPના આશરે 2 ટકા જેટલી રકમ વિદેશમાં જતી રહે છે. આ પડકાર સામે ગુજરાત સરકારે વર્ષ 2020માં GBUની સ્થાપના કરીને વિદ્યાર્થીઓને દેશમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તે માટે પહેલ કરી હતી. NITI આયોગના GIFT સિટીને વૈશ્વિક શિક્ષણ હબ બનાવવા વિઝનસ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબરા સાથે ભાગીદારીમાં શરૂ થયેલી GBU, વિશ્વની પ્રથમ બાયોટેક્નોલોજી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. GIFT સિટીમાં 23 એકરના અદ્યતન કેમ્પસમાં રૂ.80 કરોડથી વધુના સંશોધન સાધનો અને રૂ.200 કરોડના ખર્ચે ઊભું થતું આંતરરાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર NITI આયોગના GIFT સિટીને વૈશ્વિક શિક્ષણ હબ બનાવવાના વિઝનને સાકાર કરે છે. GAT-B દ્વારા દેશના 17 રાજ્યોના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધોGBUમાં પ્લાન્ટ, એનિમલ, મેડિકલ, ઇન્ડસ્ટ્રિયલ અને એન્વાયરમેન્ટલ બાયોટેક્નોલોજીના માસ્ટર્સ અભ્યાસક્રમો અમલમાં છે. ચેલેન્જ આધારિત પ્રેક્ટિકલ, નવ મહિનાની રિસર્ચ ડિસર્ટેશન અને પસંદગીના વિદ્યાર્થીઓ માટે એડિનબરામાં રિસર્ચ ઇન્ટર્નશીપ જેવી નવીન વ્યવસ્થાઓ યુનિવર્સિટીને અલગ ઓળખ આપે છે. વર્ષ 2025માં GAT-B દ્વારા દેશના 17 રાજ્યોના વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ લીધો છે. PhD સ્કોલર્સને ફેલોશિપ અને સંશોધન માટે વ્યાપક તકોમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં GBUએ રૂ.40 કરોડથી વધુની રિસર્ચ ગ્રાન્ટ્સ મેળવી છે. સાથે જ PhD સ્કોલર્સને ફેલોશિપ અને સંશોધન માટે વ્યાપક તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાજેતરમાં મળેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ તથા ફંડિંગે GBUની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણમાં ગુજરાત આજે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યુંNITI આયોગના અહેવાલ મુજબ, એડિનબરા યુનિવર્સિટીના 440 વર્ષના શૈક્ષણિક વારસાને GIFT સિટીના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડીને ગુજરાત સરકારે GBU મારફતે બ્રેઈન ડ્રેન અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. પરિણામે, ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણમાં ગુજરાત આજે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 1:40 pm

17 કરોડનું એક્વેરિયમ 11 વર્ષમાં જ 'ખખડધજ':નવું બનાવવું કે થીગડા મારવા? એ નિર્ણય લેવામાં જ પાલિકાએ 270 દિવસ વેડફ્યા, એક્વેરિયમ બંધ પણ મેઈન્ટેનન્સના નામે ખર્ચ ચાલુ

સુરતના વિસ્તારમાં આવેલું અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતું 'સુભાષચંદ્ર બોઝ એક્વેરિયમ' હાલ વહીવટી નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારના આરોપોના વમળમાં ફસાયું છે. 2014માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું, તે માત્ર 11 વર્ષના ટૂંકા ગાળામાં જ મુલાકાતીઓ માટે 'જોખમી' જાહેર કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, 28 માર્ચ, 2025થી આ એક્વેરિયમ જાહેર જનતા માટે બંધ છે, પરંતુ 9 મહિના વીતી જવા છતાં સુરત મહાનગરપાલિકા હજુ એ નક્કી નથી કરી શકી કે બિલ્ડિંગને રિપેર કરવું કે તોડીને નવું બનાવવું. ઐતિહાસિક ઈમારતો મજબૂત, આધુનિક બાંધકામ નબળું કેમ?સુરતની શાન ગણાતી મુગલીસરા કચેરી જે મુઘલકાળમાં બનેલી છે, તે આજે પણ અડીખમ ઉભી છે. તેની સામે માત્ર 11 વર્ષ પહેલાં અંદાજે 17 કરોડના ખર્ચે બનેલા એક્વેરિયમના બીમ અને કોલમ નબળા પડી જતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, ઈમારતના પિલર ક્ષતિગ્રસ્ત છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. આ રિપોર્ટના આધારે જનતાની સલામતી માટે દરવાજા બંધ તો કરી દેવાયા. ખર્ચ ચાલુ, પણ એક્સેસ બંધ, જનતાના ટેક્સના પૈસાનો વેડફાટનવાઈની વાત એ છે કે, એક્વેરિયમ અંદરથી બંધ છે અને મુલાકાતીઓ માટે પ્રવેશબંધી છે, તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન મેઈન્ટેનન્સ અને માછલીઓની દેખરેખ માટેના કોન્ટ્રાક્ટ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવ્યા છે. એક્વેરિયમના મુખ્ય ગેટ પર 'મેઈન્ટેનન્સ કામગીરી ચાલુ હોવાથી બંધ છે' તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર રિપેરિંગ માટેના કોઈ ટેન્ડર પણ હજુ સુધી બહાર પાડવામાં આવ્યા નથી. મુલાકાતીઓ દૂર-દૂરથી આવે છે અને નિરાશ થઈને પરત ફરે છે. ખાસ કરીને વેકેશનના સમયમાં બાળકો અને વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ શૈક્ષણિક કેન્દ્ર હતું, જે હવે માત્ર એક બંધ ડબ્બા સમાન બની ગયું છે. ટૂંક સમયમાં અમે નક્કર નિર્ણય લઈશુંઃ મેયરસુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, અમે હાલ એ વિચારણા કરી રહ્યા છીએ કે આ એક્વેરિયમને રિપેર કરવાથી તે લાંબો સમય ચાલશે કે પછી તેને નવેસરથી બનાવવું હિતાવહ રહેશે. આ ટેકનિકલ નિર્ણયમાં સમય લાગી રહ્યો છે. જોકે, અંદર રહેલી માછલીઓની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં અમે નક્કર નિર્ણય લઈને આ સુવિધા ફરી શરૂ કરીશું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 1:40 pm

ધોલેરા હાઈવે પર અકસ્માત:મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવાએ બાઈકને ટક્કર મારતા એકનું મોત, એક ગંભીર

ભાવનગર-અમદાવાદ રોડ પર ધોલેરા હાઈવે પર ગઈકાલે સાંજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર​ગઈકાલે સાંજે આશરે 4:30 કલાકે અબ્દુલ રજ્જાકબીન મહમદભાઈ આરબ તથા અબ્દુલ સમદબીન હસનભાઈ યમની બંને સફેદ કલરની એક્સેસ ગાડી લઈને ધોલેરા જઈ રહ્યા હતા, ત્યારે ધોલેરા હાઈવે સર્કલ પાસે વળાંક લેતી વખતે સામેથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની સફેદ રંગની ઇનોવા ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી,​અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અબ્દુલ રજ્જાકબીનને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અબ્દુલ સમદબીનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યાં સર ટી ​હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અબ્દુલ સમદબીન હસનભાઈ ઉ.મ.60 નું અવસાન થયું હતું. જ્યારે બીજા ઈજાગ્રસ્તની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ હાલ સર ટી હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે, આ ઘટના અંગે મૃતકના પુત્રએ માહિતી આપી હતી. પોલીસે આ મામલે મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 1:34 pm

હક માંગવા આદિવાસી સમાજની 131 કિ.મીની પદયાત્રા:જાતિના દાખલાનો પાલનપુરથી ગાંધીનગર સુધી વિરોધ, MLA કાંતિ ખરાડીએ કહ્યું- ભણેલા-ગણેલા છોકરાઓ નોકરી વિહોણા

જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા ત્રણ વર્ષથી કોઇ ઉકેલ ન આવતા બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જેમણે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી છે. જે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે. આ યાત્રામાં દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે. ગાંધીનગર પહોંચ્યા બાદ પણ ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભણેલા-ગણેલા છોકરાઓ નોકરી વિહોણા: MLAદાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, લાંબા સમયથી જિલ્લાકક્ષાએ રજૂઆત કરવા થતાં પણ જાતિના દાખલાની સમસ્યાનું કોઇ નિવારણ આવ્યું નથી. ભણેલા ગણેલા છોકરાઓ દાખલાના લીધે નોકરીથી વિહોણા છે. અહીં સ્થાનિક લેવલે અમારી સમસ્યાનું કોઇ નિવારણ ન આવતા અમારે ના છૂટકે ગાંધીનગર સુધીની પદયાત્રાની શરૂઆત કરવી પડી છે. અનેક રજૂઆતો કરી પણ કોઇ નિવારણ ન આવ્યું: આગેવાનઆદિવાસી સમાજના આગેવાન ઈશ્વરભાઈ ડામોરે કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાતિના દાખલા મેળવવામાં થતી હેરાનગતિઓ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પણ સરકારે આજ દિન સુધી કોઈ સુખદ નિરાકરણ લાવ્યું નથી. ત્રણ વર્ષથી મહેનત કરીને પરીક્ષા પાસ કરનાર યુવાનોની સરકારી નોકરીના ઓર્ડરો જાતિ ખરાઈના નામે અટકાવી રાખવામાં આવ્યા છે. 'અધિકારીઓ નાની-મોટી ભૂલો કાઢીને હેરાન કરે છે'ઈશ્વરભાઈ ડામોરે વધુમાં જણાવ્યું કે, વિશ્લેષણ સમિતિના અધિકારીઓ વિદ્યાર્થીઓને નોકરી ન મળે તે માટે નાની-મોટી શાબ્દિક ભૂલો કાઢી દાખલાઓ રદ કરી રહ્યા છે, જે નિંદનીય છે. તેમને લાગે છે કે તંત્ર અને સમિતિના અધિકારીઓ યુવાનોને સરકારી નોકરી ન મળે તે દિશામાં કામ કરી રહ્યા છે. વારંવાર આવેદનો આપવા છતાં કોઈ નિરાકરણ ન આવતા, આજે સમગ્ર વિસ્તારના આગેવાનો અને યુવાનો સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્યાનું વહેલીતકે સમાધાન થાય એવી માંગ ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું કે અમારી મુખ્ય માંગણીઓમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓને જાતિના દાખલા મળે, તેમજ સરકારી નોકરી મેળવી ચૂકેલા યુવાનોના અટકાવેલા ઓર્ડરો તાત્કાલિક આપવામાં આવે અને આ સમસ્યાનું વહેલીતકે સમાધાન થાય એવી અમારી માંગ છે. બ્લોગમાં વાંચો પળેપળની અપડેટ્સ...

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 1:33 pm

ટ્રિપલ સવાર બાઈક ST બસ સાથે ધડાકાભેર ટકરાતા એકનું મોત:બે ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા, પરિવારનો એકનો એક આધાર છીનવાયો; પંડ્યા બ્રિજ નીચે અકસ્માત

વડોદરા શહેરમાં વર્ષના અંતમાં જાણે અકસ્માતની હોડ લાગી હોય તેમ એક બાદ એક અકસ્માત સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે પંડ્યા બ્રિજ નીચે વળાંકમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ચાલક વળાંક લેતો હોય તે વખત દરિમયાન ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી આવતો બાઇક ચાલક બસના આગળના ભાગે ધડાકાભેર ટકરાય હતી. જેમાં બાઇક પર સવાર ત્રણ યુવકો ઘટના સ્થળે ગંભીર ઇજાઓને લઈ તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જેમાં એક યુવક જે બાઇક ચલાવતો હતો તે ઉર્પિત પઢિયારનું ગંભીર ઇજાઓને લઈ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બસ વળાંક મારતી હતીને બાઈક ધડાકાભેર ટકરાઈઅકસ્માતના બનાવમાં બાઇક પર સવાર ત્રણે યુવકોને ઇજાઓ પહોંચે છે. તમામને સયાજી હોસ્પિટલમાં સારવાર મત ખસેડવામાં આવે છે. જેમાંથી એક યુવક અર્પિત મહેશભાઈ પઢીયાર (ઉં.વ. 20 ધંધો નોકરી, રહે.માધવનગર દશરથ ગામ વડોદરા)નું સારવાર દરમ્યાન મોત નીપજે છે. યુવક એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતાને પેરાલિસિસ છે અને ભાઈ નાનો છે. આ યુવક એકમાત્ર પરિવારમાં કમાનાર દીકરો હતો. એકનું મોત, બેને ઈજાઆ અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય બે યુવકો ભૌમિક રમણભાઈ રોહિત (ઉં.વ. 24 રહે.દશરથગામ) અને વિશાલ કરસનભાઈ તડવી (ઉ.વ. 17, રહે. દશરથ ગામ વડોદરા)ને ઇજાઓ પહોંચતા તેઓની હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ફતેગંજ પોલીસે અકસ્માત સર્જનાર બસને કબજે લીધી છે. આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોબાઈલ પર મેસેજ કરતો અકસ્માત સર્જાયોફતેગંજ પોલીસે ઇજાગ્રસ્ત વિશાલ તડવીએ નોંધાવેલ ફરિયાદ મુજબ યુવક સાથે તેઓ ચાની રોડથી પંડ્યા બ્રિજ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ યુવક ચાલુ ગાડી પર મોબાઈલ પર મેસેજ કરતો હતો. આગળ જતા જ પંડ્યા બ્રિજ પાસે બસ ટન મારતા બસ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં વિશાલ તડવી અને તેનો મિત્ર ભૌમિક રોહિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે બાઇક ચાલક ઉર્પિત પઢિયારનું ગંભીર ઇજાઓને લઈ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હાલમાં ફતેગંજ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 1:32 pm

વધુ એક સોની વેપારી ઉચાપતનો શિકાર બન્યા:રાજકોટની નામાંકિત જવેલર્સના કેશિયરે ગ્રાહકોને અલગ-અલગ સ્કીમના બહાને 1.99 કરોડ પડાવી છેતરપિંડી આચરી

રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે ઉચાપતની ઘટના સામે આવી છે. આ વખતે ઉચાપતની ઘટનામાં અન્ય કોઈ નહિ પરંતુ જવેલર્સ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા શખ્સે જ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. કેશિયર દ્વારા ગ્રાહકને ખોટી અલગ અલગ સ્કીમ બતાવી રૂપિયા પડાવ્યા હોવાનું અને જવેલર્સના નામના ખોટા વાઉચર બનાવ્યા હતા જ મળી કુલ 1.99 કરોડની છેતરપિંડી આચરી હોવાની જાણ થતા શોરૂમના માલિકે કેશિયર સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કેશિયર હિતેશ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિતેશ પરમાર સામે છેતરપિંડી ફરિયાદ નોંધાઈ રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર સાકેત પાર્કમાં રહેતાં અને મવડી રોડ ઉપર, નાના મૌવા રોડ ઉપર તથા જામનગરમાં અર્જુન જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતા મનીષભાઇ નથુભાઇ ઘાડીયા (ઉ.વ.40)એ મૂળ આણંદ જિલ્લાના બોરસદના વતની અને હાલ બાલાજી હોલ, 150 ફૂટ રિંગરોડ, વલ્લભ વિદ્યાનગર સોસાયટી શેરી નં.3માં રહેતા અને નાનામવા રોડ ઉપર આવેલી તેમની બ્રાન્ચમાં કેશિયર તરીકે નોકરી કરતા હિતેષ શૈલેષ પરમાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હિતેશ પરમાર કેશિયર તરીકે ફરજ બજાવતો ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નાના મૌવા રોડ ઉપર આવેલા તેઓના અર્જુન જવેલર્સ શો રૂમમાં હિતેષ પરમારને ગઈ તા.12.08.2022થી કેશીયર તરીકે નોકરી ઉપર રાખ્યો હતો. તે શો રૂમમાં ત્રણ વર્ષથી વધારે સમય સુધી નોકરી પર ચાલુ રહેતા શો રૂમના નિયમ મુજબ અનુભવના આધારે કેશીયરના હેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગઈ તા.26.12.2024થી હિતેષ પરમારને મવડી રોડ ઉપર આવેલ અર્જુન જવેલર્સમાં કેશીયર હેડ તરીકે બદલી કરી હતી. કંપનીના મોબાઇલમાંથી ડાયરેક્ટ કસ્ટમરોનો સંપર્ક કરી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. તા.17.07.2025ના રોજ જામનગરમાં આવેલ અર્જુન જવેલર્સમાં હિતેષ પરમારને ડેપ્યુટેશન પર ત્યાં કેશીયર તરીકે રાખી સંપુર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી અને રાજકોટથી તા.05.08.2025થી નોકરીમાંથી છુટા કર્યા હતા. ખોટું વાઉચર બનાવીને આપ્યું છુટો કર્યાના અઠવાડીયા બાદ તા.12.08.2025ના એક ગ્રાહક ઇશાબેન સોરઠીયા મવડી ખાતે આવેલ અર્જુન જવેલર્સના શો રૂમ ખાતે આવી જણાવ્યું કે, મે હિતેષ પરમારને ડિસેમ્બર 2024થી તા.20.05.2025 સુધીમાં કટકે કટકે રૂ.45.40 લાખ સોનાના બિસ્કીટ લેવા પેટે ડીપોઝીટ તરીકે જમા કરાવ્યા છે. હિતેષે મને કહ્યું કે, છ માસની સ્કીમ મુજબ તમને 6 સોનાના બિસ્કીટ 400 તથા 200 મળી કુલ 600 ગ્રામ 6 મહિના બાદ મળશે અને આ માટે મને એક ઓર્ડર વાઉચર ફોર્મ આપ્યું છે જેમાં રિમાર્કસમાં 600 ગ્રામ સોનુ જમા છે તેવો ઉલ્લેખ વાળું ઓર્ડર વાઉચર આપ્યું છે. 21 દિવસમાં 1 કરોડ રોકડા જમા કરાવ્યા હતા ફરીયાદીએ તે વાઉચર લઇ સિસ્ટમમાં ચેક કરતા ઇશાબેન સોરઠીયાના રૂ.45.60 લાખ જમા થયા ન હતા, જેથી ઇશાબેન સોરઠીયાએ જે સોનાનો ઓર્ડર આપ્યો અને તેના બદલામાં શો-રૂમનુ વાઉચર હિતેષ પરમારે આપેલ તે ખોટુ ઉભુ કરવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યું હતુ. આ પછી તે જ દિવસે બીજા એક ગ્રાહક અંકીતાબેન રૈયાણી શો-રૂમ ખાતે આવી હિતેષ પરમારને તા.23.10.2024ના સોનાના દાગીના ખરીદવા પેટે રૂ.20 લાખ રોકડા તથા તા.07.05.2025થી તા.28.05.2025 સુધીમાં અલગ અલગ તારીખે રોકડા રૂપિયા એક કરોડ જમા કરાવ્યા છે અને આ હિતેષભાઈએ 500 ગ્રામ સોનુ આપ્યું છે અને તેની પાસેથી 450 ગ્રામ સોનુ લેવાનુ બાકી છે જે બાબતનુ અર્જુન જ્વેલર્સ નામનુ વાઉચર બનાવી આપ્યું છે, જે અસલ વાઉચર બતાવતા તેમાં હિતેષ પરમારની તારીખ સાથેની સહી હતી. જેથી તે બાબતે જવેલર્સના સિસ્ટમમાં ચેક કરતા તે પણ હિતેષ પરમાર દ્વારા ખોટુ વાઉચર ઉભુ કરેલ હોવાનુ જાણવા મળ્યું હતુ. શો-રૂમના સીસીટીવી કેમેરા ચેક કરતા તા.21.05.2025ના સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન હિતેષ પરમાર શો રૂમમાંથી 450 ગ્રામના સોનાના બિસ્કીટનું પાઉચ જેમાં 100 ગ્રામના 4 તથા 50 ગ્રામનુ 1 તેના પેન્ટના ખિસ્સામાં મુકીને લઈ જતો જોવા મળ્યો હતો. તે શો-રૂમમાંથી સોનુ લઇ ગયો છે પરંતુ અંકીતાબેનને આપ્યું નથી. ગ્રાહકના રૂપિયા જમા ન કરાવ્યા ઓગષ્ટ 2025માં ગ્રાહક ચીરાગભાઈ વલ્લભભાઈ ખુંટ શો રૂમ ખાતે આવી અને વાત કરી કે, હુ તથા મારા બહેન જીગ્નાબેન ગઇ તા. 29.01.2025ના શો રૂમ ખાતે આવી અને સોનાનુ બિસ્કીટ ખરીદવુ હોય હું અને મારા બહેન જીગ્નાબેન હિતેષભાઇને મળી વાતચીત કરી રોકડા રૂ.1 લાખ સોનાના બિસ્કીટ પેટે જમા કરાવ્યા તે બાબતે મારા બહેન જીગ્નાબેનના નામે રૂ.1 લાખનું એક વાઉચર બનાવી આપેલ તેમજ તા.31.03.2025ના શોરૂમ પર મારા બહેન જીગ્નાબેન એકલા ગયા હતા હિતેષભાઈ પાસે રૂ.60 હજાર જમા કરાવતા રિસીપટ બનાવી બહેનને બીજી એક રિસીપટ આપી જેમાં રૂ.1.60 લાખ જમા લીધેલનું લખી આપ્યું હતું. અસલ પેમેન્ટ રિસીપ્ટ બતાવતા હિતેષ પરમારની સહી હતી જેથી સિસ્ટમમાં ચેક કરતા ચીરાગભાઈના રૂ.60 હજાર જ જમા થયાનું જાણવા મળ્યું હતું. અમુક દિવસો બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે હિતેષ પરમારે તા.21.04.2025ના મવડીના શો રૂમ ખાતે પોતાના આઇડીમાંથી કસ્ટમર ચીરાગભાઈ ખુંટના નામે રૂ.1,99,800નુ સોનાની ગીની વજન 20 ગ્રામનુ બીલ બનાવી દીધું છે. ત્યારે કસ્ટમર ચીરાગભાઇ શો રૂમની અંદર હાજર નથી અને હિતેષ આ 20 ગ્રામ સોનાની ગીની ખિસ્સામાં નાખી લઇ જતા જોવા મળે છે અને ખોટુ વાઉચર બનાવી રૂ.1,99,800નુ સિસ્ટમમાં ચીરાગભાઇને 20 ગ્રામ સોનાની ગીની આપેલ ન હોવા છતા ખોટુ બીલ બનાવ્યું છે. સોનાનો ભાવ ડાઉન થાય એટલે તમારૂ 100 ગ્રામ સોનાનુ બિસ્કીટ બુક કરીશ 10 દિવસ પહેલા શો રૂમ પર કસ્ટમર વિમલભાઈ ધીરૂભાઈ ખુંટ આવ્યા અને કહ્યું કે, ગઈ તા.04.12.2024ના હું તમારા નાના મૌવાના શો રૂમ ખાતે ગયો અને હિતેષ પરમારને મળી 100 ગ્રામનુ સોનાનુ બિસ્કીટ લેવાનુ હોય જેથી હિતેષ પરમારે મને એક સ્કીમ કહી કે, તમે અત્યારે રૂ.7.50 લાખ જમા કરાવો સોનાનો ભાવ ડાઉન થાય એટલે તમારૂ 100 ગ્રામ સોનાનુ બિસ્કીટ બુક કરી દઇશ, તેમ વાત કરતા તેને રૂ.7.50 લાખ જમા કરાવેલ હતા. ત્યારબાદ હિતેષ પરમારના કહેવાથી રૂ.20 હજાર જમા કરાવ્યા હતા તે દિવસે શો રૂમમાં ચાલતી સ્કીમ સમજાવી જણાવ્યું કે, આજે 100 ગ્રામ સોનુ જમા રાખો તો તમને છ મહિના પછી 104 પોઇન્ટ 8 ગ્રામ સોનુ મળશે, જેથી તે સ્કીમ સારી લાગતા હિતેષ પરમાર પાસે મારૂ 100 ગ્રામ સોનાનુ બિસ્કીટ જમા રાખી અને તા.14.05.2025ના આ પેટે તેમણે અર્જુન જ્વેલર્સનું વાઉચર બનાવી આપ્યું હતું. જેમાં બંનેએ સહી કરી હતી. જે વાઉચર બતાવતા તેમાં હિતેષ પરમારની સહી હોય સિસ્ટમમાં તે વાઉચરની ખરાઈ કરતા આ વાઉચરમાં જણાવેલ રૂ.7.70 લાખ શો રૂમના એકાઉન્ટમાં જમા થયેલ ન હોવા છતા હિતેષ પરમારે ખોટુ વાઉચર બનાવી વિમલભાઈ ખુંટને સાચા તરીકે આપેલ હોવાનુ જાણવા મળ્યું હતું. કુલ 1.99 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ આ હિતેષ પરમારે શો રૂમના નામે ઘણા કસ્ટમરોને બનાવટી વાઉચરો બનાવી આપ્યા હોવાનું જાણવા મળતા મવડી શો રૂમના ઉપલબ્ધ સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું કે, હિતેષ પરમારે અર્જુન જવેલર્સમાં કસ્ટમરોના જમા રૂપિયાના ખોટા વાઉચર બનાવી કસ્ટમરોની તથા જ્વેલર્સની જાણ બહાર સોનાની ઉચાપત કરી પોતાના ખિસ્સામાં નાખી શો રૂમની બહાર લઈ જતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા છે. ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી તેઓની પાસેથી રોકડા રૂ.1,74,10,000 મેળવી જવેલર્સના નામે ખોટા અને બનાવટી વાઉચરો તથા બીલો બનાવી સાચા તરીકે આપી તેમજ શો રૂમમાંથી અલગ અલગ સમયે સોનાની ગીની, દાગીના મળી કુલ 265 ગ્રામ સોનુ રૂ.25,57,800ના ખોટા વાઉચર, બીલો બનાવી દાગીના લઇ જઇ કુલ રૂ.1,99,67,800ની ઉચાપત કરી વિશ્વાસઘાત કરતા ફરીયાદ નોંધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 1:23 pm

ગૌવંશના શંકાસ્પદ મોતથી ગૌરક્ષકોમાં ભારે રોષ.:કેશોદના ફાગળીમાં ગૌવંશની સામૂહિક હત્યાની શંકા: 7 ગૌવંશના મૃતદેહ મળતા ચકચાર, વિસેરા FSLમાં મોકલાયા, ગૌરક્ષકોએ પોલીસ તપાસની માંગ કરી.

જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં ફરી એકવાર ગૌવંશના શંકાસ્પદ મોતે ગૌપ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. કેશોદના ફાગળી ગામના વાડી વિસ્તારમાં આવેલી જૂની ડમ્પિંગ સાઇટ પાસે એકસાથે 7 જેટલા ગૌવંશના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગૌરક્ષકોએ આશંકા વ્યક્ત કરી છે કે અજાણ્યા શખ્સો દ્વારા ગૌધનને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ​પતંગ લેવા ગયેલા બાળકોએ જોયા મૃતદેહ ઘટનાની વિગતો મુજબ, મકરસંક્રાંતિ નજીક હોવાથી ફાગળી ગામના વાડી વિસ્તારમાં બાળકો પતંગ ચગાવવા ગયા હતા. આ દરમિયાન એક બાળકની પતંગ બાવળમાં ફસાઈ જતા તેને લેવા ગયેલા બાળકોએ ત્યાં ગૌવંશના મૃતદેહ જોયા હતા. બાળકોએ આ અંગે ગ્રામજનોને જાણ કરતા ફાગળી ગામના સરપંચ ભગવાનજીભાઈ દેવધરીયા અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દ્રશ્યો જોઈ ચોંકી ઉઠેલા સરપંચે તુરંત ગૌરક્ષકો અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને પશુ ડોક્ટરોનો કાફલો ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતા જોતા કેશોદ પોલીસ અને પશુ દવાખાનાનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પંચ રોજકામની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌમાતા, ધણખૂટ સહિતના 7 પશુઓના મોત પાછળ કોઈ ઝેરી પદાર્થ હોવાની શંકા દ્રઢ જણાતા પશુ ડોક્ટરોએ સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કર્યું હતું. મોતના ચોક્કસ કારણો જાણવા માટે પશુઓના વિસેરા લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે એફએસએલ માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. ​અગાઉ પણ 11 ગૌવંશના મોત થયા હતા: ગૌરક્ષકોમાં રોષ ગૌરક્ષક દળના સભ્ય નીરવ લશ્કરીએ જણાવ્યું હતું કે, કેશોદ અને તેની આસપાસના વિસ્તારોમાં વારંવાર રખડતા ગૌવંશને ઝેરી પદાર્થ ખવડાવી મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ વેરાવળ રોડ પર પણ ખોરાકમાં ઝેરી અસરને કારણે 11 થી વધુ ગૌધનના મોત થયા હતા, પરંતુ આજદિન સુધી તે મામલે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આજે ફરી ફાગળીની સીમમાં આ પ્રકારની ઘટના બનતા હિન્દુ સંગઠનો અને ગૌભક્તોમાં ભારે આક્રોશ છે. ગૌરક્ષકોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ​શ્વાનનો ત્રાસ અને વેક્સિનેશનની માંગ આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ રખડતા શ્વાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. મૃત પશુઓનો ખોરાક કરતા શ્વાન હડકવા ફેલાવે છે, જેનાથી લોકોના સ્વાસ્થ્યને જોખમ ઊભું થાય છે. કેશોદની સ્ટાર સિટી અને જોલી વિસ્તારના રહીશોએ પાલિકા ચીફ ઓફિસર પાસે શ્વાન પકડવાની માંગ કરી હતી, જેના જવાબમાં ચીફ ઓફિસરે એક અઠવાડિયામાં કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.​હાલમાં પોલીસે ગૌરક્ષકોની અરજી લઈ તપાસ તેજ કરી છે. PM રિપોર્ટ અને FSL રિપોર્ટ આવ્યા બાદ ગૌવંશના મોતના રહસ્ય પરથી પડદો ઉઠશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 1:17 pm

પાલનપુર નજીક લક્ઝરી બસ પલટી:જોધપુરથી ગોવા જતી બસના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ગુલાંટ મારી ગઇ, 4-5 મુસાફરોને સામાન્ય ઈજા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ચિત્રાસણી હાઇવે પર મોડી રાત્રે એક લક્ઝરી બસ પલટી ગઈ હતી. જોધપુરથી ગોવા જઈ રહેલી આ બસના અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બસ ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરીને પલટી મારી હતી. આ ઘટના રાત્રીના સમયે બની હતી. 4-5 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચીબસમાં સવાર ચારથી પાંચ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતા જ પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 1:00 pm

વલસાડમાં કચરા પ્રોસેસિંગ સાઇટનો વિરોધ:ખેડૂતોએ ઓવાડાને બદલે વૈકલ્પિક જગ્યાની માંગ કરી

વલસાડ નગરપાલિકા દ્વારા ઓવાડા ગામે સૂચિત નવી કચરા પ્રોસેસિંગ સાઇટનો સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો આ પ્રોજેક્ટથી ખેતી અને પર્યાવરણને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે, અને વૈકલ્પિક જગ્યાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે ઓવાડા વિસ્તારમાં 90%થી વધુ ખેડૂતો વસે છે, જેમની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત ખેતી છે. ડમ્પિંગ સાઇટ આવવાથી ફળદ્રુપ જમીન બિનઉપયોગી બની જશે અને ખેડૂતો પાયમાલ થશે તેવી આશંકા છે. છેલ્લા 10 વર્ષમાં નંદાવલા અને પાલી હિલ જેવા વિસ્તારોમાં આવા પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યા બાદ હવે તંત્ર ઓવાડા તરફ વળ્યું છે, જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ વહીવટી તંત્રને કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે. તેમણે નદીથી 500 મીટર દૂર એવી જગ્યા પસંદ કરવાની ભલામણ કરી છે જ્યાં જમીન ઓછી ફળદ્રુપ હોય. આ ઉપરાંત, 2001માં શરૂ કરાયેલ 'ટોમેટ' પદ્ધતિ ફરી અમલમાં લાવવી જોઈએ, જે રોજના 25 ટન કચરાનો નિકાલ કરી શકે છે. બે આવા પ્લાન્ટ વલસાડના 50 ટન કચરા માટે પર્યાપ્ત હોવાનું તેમનું કહેવું છે. આગેવાનોએ આર્થિક પાસાઓ પર પણ ધ્યાન દોર્યું છે. ઓવાડા શહેરથી 16-18 કિમી દૂર હોવાથી વાર્ષિક અંદાજે ₹3.5 કરોડનો વધારાનો ડીઝલ અને પરિવહન ખર્ચ થશે. આ ખર્ચ નગરપાલિકાની તિજોરી પર ભાર વધારશે. આગેવાનોએ જણાવ્યું હતું કે, વલસાડમાં નગરપાલિકાથી લઈને કેન્દ્ર સરકાર સુધી એક જ પક્ષનું શાસન છે અને શહેરી વિકાસ મંત્રી પણ આ જ જિલ્લાના છે. આથી, આ પ્રશ્નનો ગંભીરતાથી વિચાર કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:54 pm

અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી 8 ફ્લાઇટ કેન્સલ:ઓછી વિઝિબિલિટીને કારણે 13 ફ્લાઇટ ડીલે, અનેક એરલાઈન્સે એડવાઇઝરી જાહેર કરી

ઓછી વિઝિબિલિટી અને ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હીમાં સર્જાયેલી ધુમ્મસની સ્થિતિના પગલે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જ્યારે ઘણી ફ્લાઇટ્સમાં લાંબો વિલંબ નોંધાયો છે. જેને કારણે અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતા હવાઈ સેવાઓ પર ભારે અસર જોવા મળી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ છે. ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી. જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 8 ફ્લાઇટ્સ રદ કરવી પડી. અને 13 ફ્લાઇટ મોડી પડી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ એરલાઈન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે મુસાફરો ભારે પરેશાન થયા હતા. અરાઇવલ કેન્સલ ફ્લાઇટ 1-રાયપુરથી અમદાવાદ આવતી 6E 645 2-દિલ્હી થી આવતી 6E 163 3-અમૃતસર થી અમદાવાદ આવતી 6E 127 4-એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી AI 2959 5-અરાઇવલ ડીલે ફ્લાઇટ 6-થાઈ વાઇટજેટ બેન્કોકથી અમદાવાદ આવતી VZ 750 7-સ્ટાર એરની પૂર્ણિયાથી અમદાવાદ આવતી S5 619 8-સ્પાઇસજેટ ની કોલકતા થી અમદાવાદ આવતી SG 494 9-સ્પાઇસજેટ ની દિલ્હી થી અમદાવાદ આવતી SG 877 10-એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગ્લોર થી અમદાવાદ આવતી IX 2013 11-એર ઇન્ડિયા એક્સપ્રેસની ગોવા થી અમદાવાદ આવતી IX 2143 12-ઈન્ડિગો ની દેહરાદૂન થી અમદાવાદ આવતી 6E 569 13-ઈન્ડિગો ની કુવૈત સિટીથી અમદાવાદ આવતી 6E 1244 14-અકાસા એર ની મુંબઈ થી અમદાવાદ આવતી QP 1781 ડિપાર્ચર કેન્સલ ફ્લાઇટ 1-ઈન્ડિગો ની અમદાવાદ થી રાયપુર જતી 6E 261 2-ઈન્ડિગો ની અમદાવાદ થી દુર્ગાપુર જતી 6E 6731 3-ઈન્ડિગોની અમદાવાદ થી અમૃતસર જતી 6E 106 4-એર ઇન્ડિયાની અમદાવાદ થી દિલ્હી જતી AI 2946 ડિપાર્ચર ડીલે ફ્લાઇટ1-થાઈ વાઇટજેટની અમદાવાદ થી બેન્કોક જતી VZ 751 2-સ્પાઇસજેટની અમદાવાદ થી દુબઇ જતી SG 015 3-સ્પાઇસજેટની અમદાવાદ થી કોલકાતા જતી SG 491 4-ઈન્ડિગો ની અમદાવાદ થી જેદ્દાહ જતી 6E 075 આ અંગે ઈન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે, આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ભારે ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. સલામતીને પ્રાથમિકતા આપતા અને એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે તે માટે દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે. તેમજ કેટલીક ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં વધુ સમય લાગી શકે છે. સાથે જ, ધુમ્મસના કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ જવા માટે વધારાનો સમય રાખવાની વિનંતી કરવામાં આવી છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટીબીજી તરફ, એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી અસરગ્રસ્ત બની છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.ઈન્ડિગો અને એર ઇન્ડિયા ઉપરાંત અન્ય અનેક એરલાઇન્સે પણ આવી જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:53 pm

જામનગરમાં હિન્દુ સેનાએ બાંગ્લાદેશનો ઝંડો કચડ્યો:હિન્દુઓ પર અત્યાચાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન

જામનગરમાં હિન્દુ સેના દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિક્ટોરિયા પુલ અને સુભાષ બ્રિજ ચાર રસ્તા પર બાંગ્લાદેશનો ઝંડો રસ્તા પર બનાવી તેના પર ચાલીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન હિન્દુ સેનાના કાર્યકરોએ બાંગ્લાદેશના ઝંડા પર ચાલીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે સૂત્રોચ્ચાર કરીને સરકારને બાંગ્લાદેશના હિન્દુઓની ગંભીર પરિસ્થિતિ પ્રત્યે ધ્યાન આપવા અને તેમને ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે ભારત સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અને હત્યાઓને ગંભીરતાથી લે. તેમણે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવીને હિન્દુ સમુદાયને સુરક્ષા પૂરી પાડવાની પણ માંગ કરી હતી. આ પ્રદર્શન હિન્દુ સેના શહેર યુવા પાંખના પ્રમુખ સાગર ચૌહાણની આગેવાની હેઠળ યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, પ્રમુખ હર્ષ ભાનુશાળી, પૂર્ણકાલીન કિશન નંદા, મંથન અઘેરા, દીપ ચાંદલીયા સહિત અનેક સૈનિકો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:53 pm

અભયમ ટીમે દોઢ મહિને માતા-બાળકીનું મિલન કરાવ્યું:ઘર કંકાસમાં વિખૂટી પડેલી બાળકીને માતાની હૂંફ મળી

ગુજરાત સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં દોઢ મહિનાથી વિખૂટી પડેલી પોણા બે વર્ષની બાળકીનું તેની માતા સાથે મિલન કરાવ્યું છે. પારિવારિક વિવાદના કારણે વિખરાયેલા પરિવારને અભયમ ટીમે કાઉન્સેલિંગ દ્વારા ફરી એક કર્યો હતો, જેનાથી પતિ-પત્ની વચ્ચેના વિવાદનો સુખદ અંત આવ્યો. સુરેન્દ્રનગરની એક મહિલાના લગ્નને ત્રણ વર્ષ થયા હતા. સંયુક્ત પરિવારમાં મકાન બનાવવા બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્રણ ભાઈઓ વચ્ચે વારાફરતી મકાન બનાવવાના નિર્ણયને લઈને થયેલા વિવાદ બાદ, મહિલા છેલ્લા દોઢ મહિનાથી રિસાઈને પોતાના પિયર રહેવા ચાલી ગઈ હતી. આ વિવાદમાં બાળકીના પિતાએ પોણા બે વર્ષની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી અને માતાને સોંપવાનો ઇનકાર કર્યો હતો. દીકરીથી વિખૂટા પડ્યા બાદ માતાએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. કોલ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે તણાવપૂર્ણ સ્થિતિ જોઈ, પરંતુ કુશળ કાઉન્સેલિંગ દ્વારા બંને પક્ષોને સાંભળ્યા હતા. અભયમ ટીમે મહિલાના પતિ અને પરિવારના વડીલોની હાજરીમાં કાયદાકીય સમજણ આપી હતી. કાઉન્સેલિંગ દરમિયાન પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને બાળકીને માતાની જરૂરિયાતનો અહેસાસ થયો હતો. આખરે, પતિએ સ્વેચ્છાએ દીકરી પત્નીને સોંપી હતી અને અધૂરું રહેલું મકાનનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. અભયમ ટીમના પ્રયાસોથી બંને પક્ષો વચ્ચેની ગેરસમજ દૂર થઈ છે. હાલમાં મહિલા તેની દીકરી સાથે પિયર ગઈ છે, જ્યાંથી તેના પતિ અને વડીલો તેને સન્માનપૂર્વક સાસરે પરત લઈ જશે. આ રીતે, ૧૮૧ ટીમે એક બાળકીને માતાની હૂંફ અને એક પત્નીને તેનું ઘર પરત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાત સરકારની આ હેલ્પલાઇન મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે મદદરૂપ સાબિત થઈ રહી છે. પારિવારિક વિવાદ કે માનસિક ત્રાસનો ભોગ બનતી મહિલાઓ ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:50 pm

દોઢ કરોડના ઘરમાં રહેતાં 100થી વધુ પરિવારના પાણી માટે વલખા:નર્મદાનું પાણી ન મળતા લોકો ક્ષારયુક્ત પીવા મજબૂર; સાંધાના દુખાવા, વાળ ખરવા સહિતની સમસ્યા શરૂ

મહેસાણાના રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાછળ આવેલ સી લિંક રોડ પરની છેવાડાની પ્રાર્થના પરિસર સહિતની સોસાયટીઓ રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. આ વિસ્તારમાં નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં છેલ્લા બે-અઢી વર્ષથી લોકોને પીવાનું મીઠું પાણી નસીબ થયું નથી. આ પરિણામે 1 કરોડથી 1.50 કરોડ જેવા મોંઘા મકાનોમાં રહેતા અને તંત્રને ટેક્સ ચૂકવતા પરિવારો આજે ઊંચા TDS વાળું અને ક્ષારયુક્ત બોરનું પાણી પીવા મજબૂર બન્યા છે. પ્રાર્થના પરિસરમાં 214 મકાન પૈકી હાલ 100થી વધુ પરિવારોનો વસવાટ છે. પ્રાર્થના સહિત કેટલીક સોસાયટીઓમાં છેક તિરૂપતિ શાહીબાગ તરફના સમ્પથી અક્ષત ચોક થઇ નર્મદાનું પાણી અપાય છે, જેથી છેવાડાની સોસાયટીઓના સમ્ય સુધી પાણી પહોંચતું જ નથી. અહીંયા વસવાટ કરતા લોકો હાલમાં નર્મદાનું પાણી ન મળતું હોવાથી દોઢ કિલોમીટર દૂર સુધી કેરબા લઈ પાણી લેવા જવા મજબૂર બન્યા છે. લોકોની એકજ માગ છે કે, જેમ બને એમ નર્મદાનું મીઠું પાણી અમને આપવામાં આવે. તંત્રને લેખિત-મૌખિક રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથીઃ સુરેશ પટેલસુરેશ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સી લિંક રોડ પર પ્રાર્થના પરિસરની સોસાયટી છે. આખા સી લિંક રોડ પર નર્મદાની પાણીની પાઇપ લાઇન નાખેલી છે, તેમ છતાં અહીંયા પાણીનો પૂરવઠો આવતો નથી. હાલ અહીંની સોસાયટી અને આજુબાજુની સોસાયટીના લોકો એકદમ ઊંચા TDS વાળું બોરના પાણી પીવે છે, જેનાથી કોઈના માથાના વાળ ખરી જવા, ઢીંચણના દુખાવા, ચાલવામાં તકલીફ સહિતની શારીરિક સમસ્યા પણ થવા લાગી છે. પાણીની જે લાઈનો મકાનની અંદર ફિટ કરેલ છે, એની અંદર પણ ક્ષાર આવી ગયો છે. ક્ષારના કારણે બોરનું પાણી ઘરમાં આવી શકતું નથી. આ બાબતે અમે તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. ‘દોઢ કરોડના મકાનો છે, પણ સારું પીવાનું પાણી નથી’વધુમાં ઉમેર્યું કે, જો નવી પાઇપલાઇન નાખે અને આ સોસાયટીને પાણી મળે તેવી તંત્ર સગવડ કરી આપે. સત્તાધીશો પાસે નાણાંની પૂરતી સગવડ છે. મહાનગરપાલિકા બની છે, સરકારે પુરી ગ્રાન્ટ પણ આપી છે તો નવી પાઇપલાઇન નાખવામાં આવે. અમારી સોસાયટી છેલ્લા વિભાગમાં આવેલી છે. અહીંયા કરોડથી દોઢ કરોડ રૂપિયાના મકાનો લોકોએ લીધા છે, એમ છતાં પાણી જેવી સગવડ મળતી નથી. ‘પાણીના હિસાબે લોકો હેરાન થતા હોય તો તંત્રની જોવાની ફરજ’અહીંના લોકો પાણીને કારણે ખૂબ તકલીફ વેઠી રહ્યાં છે. દોઢ કિલોમીટર દૂર જઇ પાણી ભરવા જવું પડે છે. પાલિકાને વિનંતી છે કે, નવો સમ્પ બનાવે અને શક્ય એટલી સુવિધા પૂરી પાડે. અહીંયા 150 પરિવાર રહે છે અને 217 મકાન આવેલા છે. આજુબાજુની 20થી 22 સોસાયટી વાડાને પીવાના પાણીની સમસ્યા છે. હવે તો બધા મિટિંગ કરી ભેગા થઈ કલેક્ટરને રજૂઆત કરવાની વાતો ચાલી રહી છે અને હલ્લાબોલ કર્યા વિના છૂટકો નથી. બોરનું પાણી આવે છે, પણ બહુ ખારું છેઃ ભગવાન પટેલઅન્ય રહીશ ભગવાન પટેલે જણાવ્યું કે, અમારી સોસાયટીમાં માગણી કરવા છતાં હજુ સુધી પીવાનું પાણી આવ્યું નથી. છેલ્લા બે-અઢી વર્ષથી અમે લોકો અહીં વસવાટ કરીયે છીએ, પણ સારું પીવાનું પાણી અમને મળતું નથી. બોરનું પાણી આવે છે, પણ બહુ ખારું પાણી આવે છે. અહીંયા બે વર્ષ પહેલા પાણીની લાઇન નાખી છે, પણ પાણી આવતું જ નથી. આજુબાજુ ક્યાંક નીચું હોઈ ત્યાં પાણી જતું રે છે. સોસાયટીમાં દરેકને સારું પીવાનું પાણી મળે એવી માગ છે. હર્ષિતાબેને ભાસ્કરને જણાવ્યું કે, ક્ષાર વાળું પાણી પીવાથી સાંધાના દુખાવા થાય છે. માથાના વાળ ખરી જાય છે. શરીરે ખજવાળ આવે છે અને ઘણીબધી તકલીફ થાય છે. અહીંયા નર્મદાનું પાણી ચાલુ થાય એવી માગ છે. સોસાયટીની સંખ્યા વધી પણ સુવિધા નહિ!આ વિસ્તારમાં 50 લાખ લિટરનો સમ્પ બન્યો ત્યારે 75 સોસાયટી હતી, હાલ 138 થઈ ગઈ છે. પાંચોટ હદમાં આવતા સી લિંક વિસ્તારમાં 2014-15માં રાજધાની નજીક 50 લાખ લિટર પાણીની ક્ષમતાનો સમ્ય બનાવાયો હતો અને તેમાંથી નર્મદાનું પાણી તે વખતે વિસ્તારની 75 સોસાયટીઓમાં અપાતું હતું. પાછલા 10 વર્ષમાં સોસાયટીઓ વધીને 138 થઈ છે, એટલે છેવાડા સુધી નર્મદાનું પાણી પૂરતું પહોંચતું નથી. નર્મદાનું વધુ પાણીની ડિમાન્ડ મંજૂર થાય ત્યારે સી લિંક વિસ્તારમાં નવો સમ્ય બનાવવાનું આયોજન થશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:50 pm

અમરેલીના વડીયામાં ચોરીની ત્રણ ઘટના:બંધ મકાનો અને વાડામાંથી 4 લાખથી વધુનો મુદ્દામાલ ચોરાયો

અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં તસ્કરો ફરી સક્રિય બન્યા છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ત્રણ અલગ-અલગ ચોરીની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં કુલ 4 લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. વડીયાના કોલડા ગામમાં રહેતા રંજનબેન મનસુખભાઈ સોંદરવાએ તેમના બંધ મકાનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ઇસમોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ 64,000 રૂપિયા સહિત કુલ 3,45,200 રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. આ ઉપરાંત, વડીયાના સનાળા ગામમાં અશ્વિનભાઈ પોપટભાઈ સોરઠીયાના રહેણાંક મકાનના વાડામાંથી 10,000 રૂપિયાની કિંમતનું ભેંસનું પાડી ચોરી થયું હતું. તસ્કરો દોરડું તોડી પાડીને લઈ ગયા હતા. કોલડા ગામમાં જ ચતુરભાઈ વલ્લભભાઈ કીકાણીના મકાનમાં પણ ચોરી થઈ હતી. મુખ્ય દરવાજાનું તાળું તોડી, રૂમમાં રહેલા લોખંડના કબાટમાંથી 35,000 રૂપિયા રોકડા અને ચાંદીની માળા સહિત કુલ 43,700 રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ચોરી કરતી ગેંગોને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરીને તસ્કરો સુધી પહોંચવા માટે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:49 pm

સેરિમોનિયલ પરેડમાં ગાંધીનગર પોલીસનું શક્તિપ્રદર્શન:આતંકી હુમલો હોય કે તોફાનો રેન્જ આઈજીની હાજરીમાં પોલીસે કૌવત બતાવ્યું

નવા વર્ષની ઉજવણીના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ વચ્ચે આજે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરીના વિશાળ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં ભવ્ય સેરિમોનિયલ પરેડ અને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જવાનોએ પોતાની શિસ્ત અને શારીરિક સજ્જતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. દંગલ મોકડ્રિલ યોજવામાં આવીઆ સેરિમોનિયલ પરેડ બાદ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ પોલીસ સ્ટેશનોના જવાનો દ્વારા અનેક ઇવેન્ટ્સ રજૂ કરવામાં આવી હતી. જેમાં સ્કવોર્ડ ડ્રીલ, રાયફલ પીટી, લાઠી ડ્રીલ અને યોગાસન જેવી શારીરિક કવાયતો મુખ્ય હતી. ખાસ કરીને, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા પથ્થરમારો અને તોફાનોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ અને ફાયરિંગ સાથેની 'દંગલ મોકડ્રિલ' યોજવામાં આવી હતી. આ ઉપરાંત આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા અને નાકાબંધી તોડીને ભાગતા ગુનેગારોને હથિયારો સાથે ઝડપી પાડવાનું દિલધડક ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. ઘોડેશ્વાર પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા ગુનાશોધક પ્રવૃત્તિઓના જીવંત નિદર્શન જોઈ ઉપસ્થિત સૌ પ્રભાવિત થયા હતા. રેન્જ આઈજીએ પરેડનું નિરીક્ષણ કર્યુઆ અવસરે રેન્જ આઈજીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી અને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ટીમોને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. પરેડ બાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રશ્નો સાંભળવા માટે 'સંવાદ' અને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે 'લોકદરબાર'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રેન્જ આઈજીએ પોલીસ અધિકારીઓ અને જવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, સેરિમોનિયલ પરેડ એ માત્ર શિસ્તનું પ્રતીક નથી પરંતુ તે જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનું માધ્યમ પણ છે. ખાસ કરીને જ્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી નજીક છે, ત્યારે પોલીસ દળ કોઈપણ પડકારને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ છે. આ તકે તેમણે ઉત્કૃષ્ટ સેવા બજાવનારા પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખવા પ્રેરણા આપી હતી. જ્યારે રેન્જ આઈજીએ ગાંધીનગર રેન્જ હેઠળ આવતા ચારેય જિલ્લાઓ—ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને કડક સૂચનાઓ આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે સરહદો પર સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું છે. ફાર્મહાઉસની પાર્ટીઓ પર ખાનગી ડ્રેસમાં પોલીસ નજર રાખશે અને ડ્રગ્સ કે દારૂનું સેવન કરનારાઓને બ્રેથ એનાલાઈઝર અને નાર્કો કિટ્સ દ્વારા ઝડપી પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી સહિત એલ.સી.બી., એસ.ઓ.જી. અને વિવિધ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ શક્તિપ્રદર્શન દ્વારા પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે નવા વર્ષની ઉજવણીમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:47 pm

સુરતના બાયોડાયવર્સિટી પાર્કમાં દારૂની બોટલો મળ્યા બાદ પાલિકા જાગી:મેયરની સૂચના બાદ ડેપ્યુટી કમિશનરે પોલીસ ફરિયાદ કરી, સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવાનો નિર્ણય

સુરતના અલથાણ-બામરોલી વિસ્તારમાં નવનિર્મિત અને એશઇયાના સૌથી મોટા ગણાતા અટલબિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્કમાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી દીધાના ભાસ્કરના અહેવાલ બાદ સુરત પાલિકા સફાળી જાગી છે. મેયરે આ મામલે ડેપ્યુટી કમિશનરને સૂચના આપવા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બાયોડાયવર્સિટી પાર્ક સ્વચ્છ અને સુરક્ષિત રહે તે માટે સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવાનો પણ નિર્ણય કરાયો છે. બે દિવસ પહેલા ભાસ્કરે જ્યારે પાર્કની રિયાલિટી ચેક કરી ત્યારે ઠેરઠેર દારૂની ખાલી પોટલીઓ અને બોટલો જોવા મળી હતી. ભાસ્કરના અહેવાલ બાદ મેયરે કડક કાર્યવાહીની સૂચના આપીદિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, કરોડોના ખર્ચે બનેલા આ ગ્રીન પ્રોજેક્ટમાં વૃક્ષોની હરિયાળી વચ્ચે દારૂની ખાલી પોટલીઓ અને બોટલોનો ખડકલો જોવા મળી રહ્યો હતો. આ અંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે,અટલબિહારી બાયોડાયવર્સિટી પાર્ક એ સુરતની શાન છે અને એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા આ પાર્કમાં અસામાજિક તત્વો પાર્ટી કરતા હોવાની ફરિયાદ અમારા ધ્યાને આવી છે. આ ખૂબ જ ગંભીર બાબત છે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ આદેશો આપી દેવામાં આવ્યા છે. પોલીસમાં અરજી અને સિક્યુરિટીમાં વધારોપાલિકા દ્વારા માત્ર આંતરિક તપાસ જ નહીં, પરંતુ પોલીસનો પણ સહારો લેવામાં આવ્યો છે. એસએમસીના સિક્યુરિટી વિભાગ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને આ તત્વો સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. પાર્કમાં આવનારા સમયમાં સિક્યુરિટી ગાર્ડ્સની સંખ્યા વધારવા અને પેટ્રોલિંગ સઘન બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. મેયરે ઉમેર્યું હતું કે, પાર્કની જાળવણી અને સુરક્ષા માટે પીપીપી ધોરણે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, જેથી આટલા વિશાળ વિસ્તારનું મોનિટરિંગ ચોકસાઈપૂર્વક થઈ શકે. રૂ. 144 કરોડના ખર્ચે બનેલો પ્રોજેક્ટ સ્વચ્છ અને સુરક્ષિત રહે તેવી લોકોને આશાઅંદાજે 144 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પાર્કમાં 13 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક અને 9 કિલોમીટરનો વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. કુલ 87 હેક્ટર જમીન પર ફેલાયેલા આ 'સીટી લંગ્સ' (શહેરના ફેફસાં) સમાન પ્રોજેક્ટમાં જો આવા અસામાજિક દૂષણો પેસી જશે તો સામાન્ય નાગરિકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે મુલાકાત લેવી મુશ્કેલ બની જશે તેવી ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. જોકે, ભાસ્કરના અહેવાલ બાદ પાલિકાએ જે રીતે સક્રિયતા દાખવી છે તેનાથી નાગરિકોમાં આશા જાગી છે કે આ મનમોહક પાર્ક ફરીથી સુરક્ષિત અને સ્વચ્છ બનશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:39 pm

હળવદ લેન્ડ ગ્રેબિંગ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:કરોડોની સરકારી જમીન પચાવી પાડનાર રમેશ સાકરીયાની ધરપકડ, 9 શખસ સામે હતી ફરિયાદ

હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર રમેશ બબાભાઈ સાકરીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડ કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામે સરકારી જમીનોને નિશાન બનાવીને આચરવામાં આવ્યું હતું. હળવદના મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલચંદ્ર ભટ્ટે (ઉં.વ. 55) ગત 9 નવેમ્બર 2025ના રોજ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે બે મહિલા સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ કરી હતી. આરોપીઓમાં રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઈ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઈ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઈ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઈ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ 26 માર્ચ 2016 થી 17 જુલાઈ 2020 દરમિયાન કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોમાં રેવન્યુ રેકોર્ડ પર ચાલતી સરકારી જમીનોના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. તેમણે સરકારી કચેરીના હોદ્દાવાળાના બનાવટી રબર સ્ટેમ્પ અને ખોટી સહીઓનો ઉપયોગ કરીને ખોટા હુકમો તૈયાર કર્યા હતા. આ રીતે કુલ 344.27 વીઘા સરકારી જમીનોની સરકારી કચેરીમાં પોતાના નામે નોંધ કરાવીને કૌભાંડ આચર્યું હતું. આ ગુનામાં અગાઉ પોલીસે દિનેશભાઈ હમીરભાઈ વનાણી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, રાઠોડ માવજીભાઈ ડાભાભાઈ, વનાણી હમીરભાઈ વજુભાઈ અને જશુબેન બાબુભાઈ કોળી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે આ જમીન કૌભાંડના મુખ્ય આરોપી રમેશ બબાભાઈ સાકરીયા (રહે. કોઈબા, તા. હળવદ)ની ધરપકડ કરી છે. પોલીસ તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરશે. આગામી દિવસોમાં આ તપાસનો રેલો હળવદ તાલુકામાં ફરજ બજાવી ગયેલા તત્કાલિન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધી પહોંચે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:21 pm

ન્યૂયર પાર્ટી પહેલાં માણેજામાં બંધ બોડીનું દારુનું કન્ટેનર ઝડપાયું:375 પેટી દારુ જપ્ત કર્યો, ઉતાર્યો તો બોક્સના થપ્પાને થપ્પા લાગી ગયા, બે આરોપી ઝડપાયા, બુટલેગરની શોધખોળ

વડોદરામાં દારૂના કટિંગ વખતે મકરપુરા પોલીસે દરોડો પાડી બંધ બોડીના કન્ટેનર સહિત ચાર વાહનો સાથે 375 પેટી કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.‌ પોલીસે સ્થળ ઉપરથી બે આરોપીઓને ઝડપી પાડી ફરાર બુટલેગરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી 31મી ડિસેમ્બર પૂર્વે મકરપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. માણેજા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના કટિંગ સમયેજ પોલીસની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે દરોડો પાડતા જ દારુ લેવા આવેલા કેરીયરોમા નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે સ્થળ પરથી બંધ બોડીના કન્ટેનરમાં છુપાવેલો લાખોની કિંમતનો દારૂનો જંગી જથ્થો તેમજ કન્ટેનર સહિત ચાર વાહનો કબ્જે કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી. આગામી નવા વર્ષ 31મી ડિસેમ્બરને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દારુના રસીકોને દારૂનો સ્ટોક પહોંચાડવા માટે બુટલેગરો ફરી સક્રિય થયા છે. જોકે પોલીસ પણ પહેલેથી જ બાજ નજર રાખી રહી છે. તેવામાં આજે વહેલી સવારે મકરપુરા પોલીસે મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. માણેજા વિસ્તારમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું. બંધ બોડીના કન્ટેનરમાંથી છોટા હાથી ટેમ્પો સહિતના અન્ય વાહનોમાં માલ સપ્લાય થઈ રહ્યો હતો. તેવામાં મકરપુરા પોલીસની ટીમ ત્રાટકી હતી. આ મોટી કાર્યવાહીમાં બે વાહનમાં દારૂ લેવા આવેલા બે શખ્સો ઝડપાયા છે. જ્યારે અન્ય ઈસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એ એમ ગોહિલે જણાવ્યું હતું કે, 375 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને બે આરોપીને પકડ્યા છે. સમગ્ર મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે. અને બુટલેગરની શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:14 pm

હિંમતનગરની હાથમતી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો:ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસ તપાસ શરૂ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક હાથમતી નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ગિરધરનગર પાછળના વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, સોમવારે હિંમતનગર ગિરધરનગર આવાસ યોજના નજીક હાથમતી નદીમાં એક યુવાન પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોએ વિસ્તારના રહીશ કુમાર ભાટને કરી હતી. કુમાર ભાટે તાત્કાલિક હિંમતનગર ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને યુવાનનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. ભોલેશ્વરના રહેવાસી કુમાર ભાટે આપેલી જાણકારી મુજબ, આ મૃતદેહ હિંમતનગરના ભોલેશ્વર ખાતે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા અતુલ ચૌધરીનો હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. અતુલ ચૌધરી મંડપની કામગીરી કરતા હતા અને વહેલી સવારે ઘરેથી કામે જવા નીકળ્યા હતા. હિંમતનગર એ ડિવિઝન પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 12:13 pm

ઉન્નાવ દુષ્કર્મ કેસ: કુલદીપ સેંગરને ઝટકો, જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમનો સ્ટે

Kuldeep Sengar SC Hearing : ઉત્તરપ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાલમાં આગામી સુનાવણી સુધી હાઇકોર્ટના ચુકાદાને સ્ટે આપી દીધો છે અને કુલદીપ સિંહ સેંગર હવે જેલમાં જ રહેશે. ચાર અઠવાડિયા બાદ હવે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ જામીન રોકવાના મૂડમાં હતી

ગુજરાત સમાચાર 29 Dec 2025 12:10 pm

મોરબીની નર્મદા કેનાલમાં 8 વર્ષનું બાળક ડૂબ્યું:ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી

મોરબીના નીચી માંડલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં આઠ વર્ષનું બાળક ડૂબી ગયું છે. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મોરબી-હળવદ હાઈવે રોડ પર આવેલા નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બાળક ડૂબી ગયું હતું. આ અંગે એક રાહદારીએ ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા, ફાયરની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ કેનાલના પાણીમાં ડૂબી ગયેલા બાળકની શોધખોળ ચાલી રહી છે. અંદાજે આઠ વર્ષના બાળકને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 11:51 am

ગુજરાત ATS-રાજસ્થાન પોલીસનું ઓપરેશન:ભીવાડીના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતી ફેક્ટરીમાંથી 22 કિલો સાયકોટ્રોપિક કેમિકલ જપ્ત કર્યું

ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસ સાથે મળીને રાજસ્થાનમાં ચાલી રહેલી નશાની ફેક્ટરી ઝડપી પાડી છે. રાજસ્થાનના ભિવંડીમાં ચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરીમાં ગુજરાત ATSએ રાજસ્થાન SOG, જયપુર તથા સ્થાનિક પોલીસ સાથે રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટા પાયે સાયકોટ્રોપિક પદાર્થો અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાંથી ગેરકાયદે કેમિકલ બનાવાતું હતુંગુજરાત ATSએ બાતમીના આધારે રાજસ્થાન પોલીસની મદદથી રાજસ્થાનના ખેરથલ જિલ્લાના તિજારાના ભીવાડી ગામ સ્થિત RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી APL Pharma, પ્લોટ નં. H1/13(D)માં રેડ કરી હતી. આ ફેક્ટરીમાંથી કુલ 22 કિલો ગેરકાયદે બનાવવામાં આવેલો સાયકોટ્રોપિક પદાર્થો તેમજ અલ્પ્રાઝોલામના પ્રિકર્સર કેમિકલ અને અડધી પ્રક્રિયાવાળા પદાર્થો જપ્ત કરાયા છે. સ્થળેથી ત્રણની ધરપકડઆ રેડ દરમિયાન અંશુલ અનિલકુમાર શાસ્ત્રી, અખિલેશ કુમાર પરસનાથ મૌર્ય અને કૃષ્ણકુમાર શ્રેય યાદવ સહિત ફેક્ટરીમાં કામ કરતાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને નશાના આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા ATS દ્વારા કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 11:46 am

1400 કિમીનો ઐતિહાસિક 'ભાગીરથી રિલે રન' દોડ:'ભાગીરથી રિલે રન' ના ત્રીજા દિવસે ભાવનગરના યુવાનો 530 કિમી કાપી જયપુર પહોંચ્યા, ભાવનગરના યુવાનોમાં ભારે ઉત્સાહ

નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ-ખરેડી દ્વારા એક અનોખો અને સાહસિક સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લાવી જામનગરના ખરેડી ગામે બિરાજતા ખરડેશ્વર મહાદેવને અભિષેક કરવા માટે ભાગીરથી રિલે રન 2025-26 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં ભાવનગરના 18 યુવાનો જોડાયા છે જે ભાવનગર માટે ગૌરવની વાત છે, અને હાલ તેઓ ત્રીજા દિવસે 530 કિલોમીટર ની યાત્રા પૂર્ણ કરી ચુક્યા છે અને હાલ જયપુર પહોંચ્યા છે, ​આ યાત્રાનો પ્રારંભ 27 ડિસેમ્બર 2025ના રોજ હરિદ્વાર (ઉત્તરાખંડ) થી પ્રારંભ થયો હતો, જે અંદાજે 1400 કિલોમીટર લાંબો આ માર્ગ પાંચ રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા ત્રણ રાજ્યો પાર કરી રાજસ્થાન ના જયપુર માં પહોંચી ચુકી છે, અને ગુજરાતમાંથી પસાર થશે. આ એક રિલે રન છે, જેમાં 30 જેટલા ખેલાડીઓની ટીમ દિવસ-રાત સતત દોડીને ગંગાજીને ખરેડી સુધી પહોંચશે, હરિદ્વારથી નીકળેલી આ દોડ રૂડકી, જયપુર, એકલિંગજી અને અમદાવાદ થઈને 2 કે 3 જાન્યુઆરી 2026ના રોજ ખરેડી પહોંચશે, આ આયોજન પાછળ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો રન ફોર નેશન નો ઉમદા સંદેશ છે નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ સાથે શિવમ પેટ્રોલિયમ રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને ગો ફિટ ફાઉન્ડેશન સહભાગી બન્યા છે, સરવૈયા રાહુલ વાલજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, અમે લોકોએ એક નાનકડું આયોજન કરેલું છે અમારી સાથે PSI મહાવીરસિંહ જાડેજા કરીને તે હાલ વડોદરામાં ક્વાર્ટરમાં જોબ કરે છે ​અમે લોકો ભાવનગરથી ટોટલ 18 જણા છીએ અને ટોટલ 30 જણા અમે પાર્ટિસિપેટ છીએ, તો અમે લોકો જવાના છીએ હરિદ્વારથી ગુજરાત, ગુજરાતમાં જામનગર જિલ્લાનું 'ખરેડી' કરીને ગામ છે ત્યાં 'નવયુગ' કરીને એક નાનકડું ટ્રસ્ટ છે, ત્યાં અમે લોકો જોડાયેલા છીએ, ​અમે લોકો ગંગાજીને હરિદ્વારથી ગુજરાતમાં લાવવાના છીએ, તેનું અંતર 5 રાજ્યોમાંથી પસાર થવાનું છે અને ટોટલ 1400 કિલોમીટરનું અંતર છે અત્યારે ત્રીજા દિવસે જયપુર પહોંચ્યા છીએ, હરિદ્વારથી રિલે રનિંગ કરીને આવવાના છીએ, દેશમાં કંઈક નવું આયોજન થાય, દેશમાં અલગ-અલગ આધ્યાત્મિક કેળવણી અને 'ફિટ ઈન્ડિયા' નો સંદેશ પહોંચે તે હેતુ થી ભગીરથ દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આ દોડવીરો ગંગાજળ લઈને ખરેડી પહોંચશે, ત્યારે ખરડેશ્વર મંદિરના પ્રાંગણમાં ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે, અહીં દોડવીરોનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગંગા જળાભિષેકનો મુખ્ય ધાર્મિક વિધિ સંપન્ન થશે, ​આ આયોજનમાં મેડિકલ ટીમ, લોજિસ્ટિક સપોર્ટ અને વાહનોની વ્યવસ્થા સાથે આખી ટીમ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને આગળ વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 11:38 am

50 હજારની સાથે 6 ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી:40 મિનિટ સુધી શટર તોડી 5 મિનિટમાં ખેલ પૂરો કર્યો, એક ચોરે પહેરો ભર્યો ને બે શખ્સે હાથ સાફ કર્યા

શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં તસ્કરોએ એક નવા ખુલેલા મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યું હતું. આ ચોરોએ માત્ર રોકડ રકમ જ નહીં, પરંતુ મેડિકલ સ્ટોરના ફ્રીઝમાંથી 6 નંગ ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી હતી, જે હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. 40 મિનિટ સુધી તાળું તોડવું પડ્યુંઆ ઘટનાની વિગત એવી છે કે અલથાણમાં આવેલા 'મહાવીર હાઈટ્સ'માં 'હરિઓમ મેડિકલ એન્ડ કેર ફાર્મસી' નામની દુકાન આવેલી છે. સીસીટીવી ફૂટેજ મુજબ, આ ચોરીની ઘટના વહેલી સવારે 4:03 થી 4:45 વાગ્યાની વચ્ચે બની હતી. ચોરોએ કુલ 45 મિનિટ સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું. તસ્કરોને શટર તોડવામાં 40 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે અંદર ઘૂસીને 5 મિનિટમાં જ ચોરી કરી લીધી હતી. લોખંડના સળિયાથી શટર ઉંચું કર્યું ચોરી કરવા આવેલા ત્રણ અજાણ્યા શખ્સો પૂરી તૈયારી સાથે આવ્યા હતા. સીસીટીવીમાં દેખાય છે કે તેઓ પહેલા મહાવીર હાઈટ્સના જ એક ભાગમાં ગયા હતા, જ્યાંથી તેમણે લોખંડના ત્રણ સળિયા ઉઠાવ્યા હતા. આ સળિયાની મદદથી તેમણે મેડિકલ સ્ટોરનું શટર ઊંચું કર્યું હતું. ચોરી કર્યા બાદ તેઓ બે સળિયા પોતાની સાથે લઈ ગયા હતા અને એક ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. બે શખ્સ અંદર ગયા અને એક બહાર તૈનાત થયોચોરીની મોડસ ઓપરેન્ડી પરથી જણાય છે કે તસ્કરોએ અગાઉથી રેકી કરી હશે. ત્રણ ચોરોમાંથી બે શખ્સો દુકાનની અંદર જઈને કેશ કાઉન્ટર ફંફોસી રહ્યા હતા, જ્યારે ત્રીજો સાગરીત બહાર ઉભો રહીને રખેવાળી (વોચ) કરી રહ્યો હતો કે કોઈ આવી ન જાય. સ્ટોર માલિકની એક મહિનાની કમાણી ઉઠાવી ગયામેડિકલ સ્ટોરના સંચાલિકા જયાબેન દ્વિવેદીએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું કે, અમે આ મેડિકલ સ્ટોર માત્ર એક મહિના પહેલા જ શરૂ કર્યો હતો. સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી અમે મહેનત કરીએ છીએ. તસ્કરો મારી આખા મહિનાની મહેનતની કમાણી, અંદાજે 50,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન ચોરી ગયા છે. શટર અને કાચનો દરવાજો તોડીને તેઓ અંદર ઘૂસ્યા હતા. ઠંડીમાં ચોકોબારની જ્યાફત!આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે તસ્કરોએ મેડિકલ સ્ટોરમાં રાખેલા ફ્રીઝને પણ નહોતું છોડ્યું. રોકડ રકમ લીધા બાદ તસ્કરોએ ફ્રીઝ ખોલીને તેમાંથી 6 ચોકોબાર આઈસ્ક્રીમ કાઢ્યા હતા અને તે પણ પોતાની સાથે લઈ ગયા હતા. સવારે જ્યારે ફાર્માસિસ્ટ દુકાને પહોંચ્યા ત્યારે શટર ખુલ્લું જોઈને ચોંકી ગયા હતા. શરૂઆતમાં તેમને લાગ્યું કે કદાચ માલિકમાંથી કોઈ આવ્યું હશે, પરંતુ સત્ય બહાર આવતા તુરંત પોલીસને 112 નંબર પર જાણ કરવામાં આવી હતી. હાલ અલથાણ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ ચોકોબાર ચોર ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 11:31 am

ગીરના વનરાજાનો નવો અંદાજ, VIDEO:ખેતરની દીવાલ પર ‘રોયલ કેટવોક’ અને શિયાળાની સવારે કસરત કરતો જોવા મળ્યો; વનરાજાનો ઠાઠ જોઈ પ્રકૃતિપ્રેમીઓ મંત્રમુગ્ધ

ગીરની ધરતી અને ડાલામથ્થા સાવજ એકબીજાના પર્યાય છે. હાલ સોશિયલ મીડિયા પર ગીર સોમનાથના બોર્ડર વિસ્તારનો એક અદ્ભુત વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એશિયાઈ સિંહ ખેતરની બાઉન્ડ્રી વોલ (દીવાલ) પર જાણે કોઈ મોડલ રેમ્પ વોક કરતી હોય તેમ અત્યંત આત્મવિશ્વાસથી ‘કેટવોક’ કરતો જોવા મળ્યો છે. વહેલી સવારના ગુલાબી ઠંડીના માહોલમાં સાવજની આ મસ્તીએ વન્યજીવ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે. જાણે મોડેલિંગ કરતો હોય તેવો ઠાઠવાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વનરાજા કોઈપણ જાતના ડર વગર ખેતરની પાકી દીવાલ પર સંતુલન જાળવીને ચાલી રહ્યા છે. તેની ગૌરવવંતી ચાલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈને એવું લાગે છે કે જાણે તે કોઈ ફેશન શોમાં 'રેમ્પ વોક' કરી રહ્યો હોય. ગૌરવભરી અને આત્મવિશ્વાસપૂર્ણ ચાલમાં રાજાશાહી ઠાઠ અને વનરાજાની શાન સ્પષ્ટ જોવા મળી રહી હતી. વહેલી સવારના શાંત વાતાવરણમાં સાવજના આ દૃશ્યો ગામલોકો માટે પણ આશ્ચર્ય અને રોમાંચથી ભરપૂર રહ્યા.આ દૃશ્યોમાં સિંહની શાન અને તેનો રાજાશાહી અંદાજ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. શિયાળાની ઠંડીમાં ‘ફિટનેસ મંત્ર’હાલ ગીરમાં કકડતી ઠંડી પડી રહી છે, ત્યારે વનરાજા પણ પોતાની તંદુરસ્તી જાળવવા સજાગ હોય તેમ જણાય છે. દીવાલ પર ચાલતા-ચાલતા સાવજ ક્યારેક શરીર મરોડતો, તો ક્યારેક કસરત કરતો નજરે પડ્યો હતો. તેની સ્ફૂર્તિ અને શારીરિક ક્ષમતા જોઈને લોકો કહી રહ્યા છે કે વનરાજા પણ ફિટનેસના શોખીન છે. વહેલી સવારના શાંત વાતાવરણમાં સિંહની આ હિલચાલ ગામલોકો માટે આશ્ચર્ય અને કુતૂહલનો વિષય બની હતી. માનવ અને વન્યજીવ સહ-અસ્તિત્વની સુંદર ઝલકઆ વીડિયો ગીર સોમનાથના વેરાવળ નજીકના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું મનાય છે. ગીરની બોર્ડર પર રહેતા લોકો માટે સિંહના દર્શન નવાઈની વાત નથી, પરંતુ આ પ્રકારે દીવાલ પર સિંહનું સંચરણ દુર્લભ ગણાય છે. ખેતરમાં કામ કરતા લોકોએ જ્યારે આ દૃશ્ય જોયું ત્યારે તેઓએ પોતાના મોબાઈલમાં તેને કેદ કરી લીધું હતું. આ દૃશ્યો ગીરમાં માનવ અને સિંહો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સહ-અસ્તિત્વનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ગીર બોર્ડર પર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં માનવ વસાહત અને વન્યજીવન વચ્ચેની સહઅસ્તિત્વની આ સુંદર ઝલક પણ આ દૃશ્યોમાં જોવા મળી. ખુલ્લા ખેતરો, કાચા રસ્તાઓ અને કુદરતી પરિસરમાં નિર્ભયતાથી વિહાર કરતો ગીર કેસરી પ્રકૃતિની સાચી ઓળખ બની ગયો હતો. સોશિયલ મીડિયામાં પ્રશંસાની છડીવીડિયો વાઇરલ થતા જ વન્યજીવ પ્રેમીઓએ તેને શેર કરવાનું શરૂ કર્યું છે. નેટીઝન્સ સાવજના આ અંદાજને રોયલ એન્ટ્રી અને જંગલનો અસલી રાજા તરીકે ઓળખાવી રહ્યા છે. ગીર જંગલના સંરક્ષણ અને સિંહોની વધતી સંખ્યાને કારણે હવે ગીરના બોર્ડર વિસ્તારોમાં પણ વનરાજા આ પ્રકારે નિર્ભયતાથી વિહાર કરતા જોવા મળે છે. લોકો ગીરના રાજા સાવજના આ સ્વચ્છંદ અને શાનદાર અંદાજને વખાણી રહ્યા છે અને ગીર જંગલની વૈભવી વન્યસંપત્તિ પર ગૌરવ અનુભવી રહ્યા છે. ગીરના સાવજનો આ મિજાજ ફરી એકવાર સાબિત કરે છે કે ગીર જ તેનું એકમાત્ર ગૌરવભર્યું ઘર છે. પ્રકૃતિ અને વન્યજીવનની આવી સુંદરતા જ પ્રવાસન અને પર્યાવરણને જીવંત રાખે છે. ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં સાવજનું નિર્ભય સંચરણ માત્ર વન્યજીવનની સમૃદ્ધિનું જ નહીં પરંતુ સંરક્ષણના સફળ પ્રયાસોનું પણ ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 11:24 am

ભાજપ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારો આજે કમલમમાં હોદ્દો સંભાળશે:મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો પહોંચ્યા, જગદીશ વિશ્વકર્મા તમામ સાથે બેઠક કરશે

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે 29 ડિસેમ્બર સોમવારના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો ગાંધીનગર કમલમ ખાતે પોતાનો હોદ્દો સંભાળશે. મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો સવારથી જ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સવારે 1:30 વાગ્યે સંગઠનના તમામ હોદ્દેદારો સાથે બેઠક કરશે. નવા હોદ્દેદારો સાથે બેઠક કરી સંગઠન અંગે ચર્ચા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 10:44 am

અંજારમાં કૌટુંબિક વિવાદમાં વૃદ્ધની હત્યા:ભાણેજ અને બનેવીએ ધોકા ફટકારી મોતને ઘાટ ઉતાર્યા

અંજારના દેવળિયા નાકા નજીક આવેલા નોડે ફળિયામાં 65 વર્ષીય વૃદ્ધ આમદ ઈસ્માઈલ નોડેની હત્યા કરવામાં આવી છે. આ ઘટના કૌટુંબિક વિવાદના કારણે બની હોવાનું સામે આવ્યું છે. મૃતક આમદ નોડેના ત્રણ ભાણેજ અને બનેવીએ ધોકા વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી વિવાદ હતોપ્રાથમિક તપાસ મુજબ, બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી કૌટુંબિક વિખવાદો ચાલી રહ્યા હતા. મૃતક આમદે પોતાની પુત્રવધૂને આરોપીઓના ઘરે જવાની અને તેમની સાથે સંબંધ રાખવાની મનાઈ ફરમાવી હતી. મારામારી હત્યામાં પરિણમી આ બાબતને લઈને બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે મારામારીમાં પરિણમી અને અંતે હત્યા થઈ. અંજાર પોલીસે આ ઘટનામાં આરોપીઓ અકરમ નોડે, ઇલિયાસ નોડે, હુશેન નોડે અને ઈકબાલ નોડેને રાઉન્ડઅપ કર્યા છે. અંજાર પીઆઈ અજયસિંહ ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 10:39 am

નલિયામાં 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ:ઉત્તર તરફથી ફૂંકાતા પવનોને કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ

રાજ્યભરમાં હવામાનમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થતાં સવાર અને રાતના સમયે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પ્રભાવ વધુ બન્યો છે અને લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા નજરે પડે છે. તો ક્યાંક લોકો વહેલી સવારે યોગા, કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ક્યાંક વધારો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 10:33 am

મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઈ:6થી 60 વર્ષના કલાકારોએ ભાગ લીધો; શ્રેષ્ઠ કલાકારોને વિજેતા જાહેર કરાયા

મોરબી ખાતે ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરાયું હતું. દશાશ્રી માળીની વાડી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કલાકારોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કલાકારોએ તેમની નૃત્યકલાનું પ્રદર્શન કર્યું હતું. રાજકોટ, જામનગર અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કલાકારોને વિજેતા જાહેર કરાયા હતા. વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના લાલજીભાઇ મહેતા, ઘનશ્યામસિંહ ઝાલા, રામભાઇ મહેતા અને બળવંતભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા છેલ્લા ઘણા વર્ષોથી સફળતાપૂર્વક આયોજિત થઈ રહી છે. આ વર્ષના કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલજીભાઇ મહેતા, બળવંતભાઇ ભટ્ટ, રામભાઇ મહેતા, હિતેષભાઇ મહેતા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 10:30 am

‘ભાજપ કાર્યકર્તાને ક્યારેય ભૂલતું નથી’:કાર્યકર્તાઓએ જેની કારકિર્દી પૂર્ણ માની હતી, તે ઝંખના પટેલની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે 'સરપ્રાઈઝ' એન્ટ્રી

ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનના માળખાની તાજેતરમાં થયેલી જાહેરાતે અનેક રાજકીય વિશ્લેષકો અને ખુદ ભાજપના કાર્યકર્તાઓને ચોંકાવી દીધા છે. આ જાહેરાતમાં સૌથી વધુ ચર્ચિત નામ સુરતના પૂર્વ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલનું છે, જેમને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેવી મોટી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એક સમયે જે નેતાની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ ગઈ હોવાનું મનાતું હતું, તેમની આ ધમાકેદાર એન્ટ્રીએ સુરત ભાજપના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કાર્યકર્તાઓને લાગ્યું કે 'ખેલ ખતમ' થઈ ગયોવર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પછી ઝંખના પટેલ જાણે મુખ્ય પ્રવાહમાંથી ગાયબ થઈ ગયા હતા. 2022માં તેમને ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નહોતી. રાજકીય નિષ્ણાંતોના મતે, સુરતના સ્થાનિક જૂથવાદના કારણે તેમની ટિકિટ કાપવામાં આવી હતી. એટલું જ નહીં, ધારાસભ્ય પદ ગયા પછી ભાજપના જ મોટા નેતાઓ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હતી. રાજકીય કાર્યક્રમો કે પક્ષની મહત્વની બેઠકોથી તેમને દૂર રાખવાના પૂરતા પ્રયાસો થયા હતા. આ પરિસ્થિતિ જોઈને ભાજપના સામાન્ય કાર્યકર્તાઓએ પણ માની લીધું હતું કે હવે ઝંખના પટેલની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. જૂથબંધી વચ્ચે એકલા હાથે લડતસુરત ભાજપ હંમેશા બે મોટા નેતાઓના જૂથોમાં વહેંચાયેલું રહ્યું છે, પરંતુ ઝંખના પટેલની વિશેષતા એ રહી કે તેઓ કોઈ પણ જૂથમાં સામેલ થયા વગર પોતાની રીતે કાર્યરત રહ્યા. જૂથવાદના કારણે તેમને અનેકવાર અન્યાયનો સામનો કરવો પડ્યો, તેમ છતાં તેમણે પક્ષ સામે બગાવત કરવાને બદલે મૌન રહીને કામ કરવાનું પસંદ કર્યું. તેમના પિતા પણ કોળી સમાજના અગ્રણી નેતા હતા અને તેમણે ચોર્યાસી વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પિતાના વારસાને આગળ ધપાવતા ઝંખના પટેલે પણ સમાજમાં પોતાની પકડ જાળવી રાખી હતી. ભાજપ કોઈને ભૂલતું નથીઃ ઝંખના પટેલપ્રદેશ ઉપપ્રમુખ બન્યા બાદ ઝંખના પટેલે મીડિયા સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કોઈપણ કાર્યકર્તાને ભૂલતી નથી. વહેલું-મોડું ચોક્કસપણે થાય છે પણ પક્ષ હંમેશા કાર્યકર્તાની કામગીરીને ધ્યાને રાખીને જવાબદારી સોંપે છે. આજે મને જે જવાબદારી મળી છે તે માટે હું કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું. તેમણે વધુમાં ઉમેર્યું કે, નરેન્દ્રભાઈ મોદી , અમિતભાઈ શાહ અને સી.આર. પાટીલ, જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ સંગઠનમાં આ પ્રથમ મોટી જવાબદારી છે. સરપંચમાંથી MLA રાજકારણના ‘રાજા’ હતા ઝંખના પટેલના પિતાઝંખના પટેલના પિતા રાજા પટેલ 1985માં ભાજપમાં જોડાયા હતા. કાંઠા વિસ્તારમાં સરપંચ તરીકે તેમણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, એ સમયે ભાજપનું એટલું પ્રભુત્વ નહોતું, પરંતુ રાજા પટેલ ભારતીય જનતા પાર્ટી સમર્થિત સરપંચ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમના વિસ્તારમાં સતત ભાજપ સમર્થિત વિચારધારાના લોકો સરપંચ બને એવો પ્રયાસ કર્યો હતો અને તેમાં તેઓ ખૂબ જ સફળ થયા હતા અને આ જ કારણ હતું કે તેઓ સતત દસ વર્ષ સુધી સરપંચ રહ્યા હતા. તેમની પકડ નાના નાના કાંઠા વિસ્તારનાં ગામોમાં ખૂબ જ મજબૂત હતી. ભાજપમાં જોડાયા ત્યારથી લઈને તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જ હતા.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 10:06 am

હવે રાજ્યની ખાનગી સ્કૂલો ફી છુપાવી નહીં શકે:FRCએ 5,780 સ્કૂલની ફી ઓનલાઈન જાહેર કરી, તમારા સંતાનની ફી આ રીતે કરી લો ચેક

રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા FRCએ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો સતત સામે આવી રહી હતી. આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની નિયત ફી FRCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે. અમદાવાદ ઝોનની વાત કરીએ તો શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદા છતાં અનેક શાળાઓએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે. હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વની વાત એ છે કે નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે. અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના હોવા છતાં ઘણી જગ્યાએ તેનું પાલન થતું નહોતું. પરિણામે વાલીઓ અજાણ રહેતા. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે. ફી કેવી રીતે ચેક કરશો?વાલીઓ FRCની સત્તાવાર વેબસાઇટ frcgujarat.org પર જઈ જિલ્લો/મ્યુનિસિપલ વિસ્તાર, બોર્ડ, માધ્યમ અને સ્કૂલનું નામ પસંદ કરીને ફીનો ઓર્ડર જોઈ શકશે. તેમાં ધોરણ અને વર્ષ પ્રમાણે મંજૂર ફીનું સંપૂર્ણ માળખું આપવામાં આવ્યું છે. પારદર્શક વ્યવસ્થાથી હવે ખાનગી શાળાઓની મનમાની પર બ્રેક લાગી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 10:03 am

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિએ ઓનલાઈન ગૌ-પૂજન:ગીર ગૌવંશ સંરક્ષણ માટે વિશેષ વ્યવસ્થા, દાનનો લાભ મળશે

દેવાધિદેવ સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થધામ ખાતે આગામી મકરસંક્રાંતિના પવિત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. 14 જાન્યુઆરી, 2026ના રોજ આવતા આ પુણ્યકાળમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ગૌ-પૂજન, તલ અભિષેક અને વિશેષ શ્રૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે ભક્તો પ્રત્યક્ષ આવી શકતા નથી, તેમના માટે 'ડિજિટલ માધ્યમથી ગૌ-સેવા'નો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમોમંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, મકરસંક્રાંતિના દિવસે મંદિરમાં પરંપરાગત વિધિઓ સાથે વિશેષ કાર્યક્રમો યોજાશે: ઘેરબેઠાં મેળવો ગૌ-પૂજનનું પુણ્ય: ઓનલાઈન વ્યવસ્થાઆજના આધુનિક યુગમાં વ્યસ્તતાને કારણે જે ભક્તો સોમનાથ નથી પહોંચી શકતા, તેઓ માત્ર રૂ. 251માં ઝૂમ (Zoom) એપના માધ્યમથી લાઈવ ગૌ-પૂજનમાં જોડાઈ શકશે. ભક્તોએ Somnath.org પર નોંધણી કરાવવાની રહેશે, ત્યાર બાદ તેમના મોબાઈલ પર લિંક મોકલવામાં આવશે. ગીર ગૌવંશના સંરક્ષણ માટે સોમનાથ ટ્રસ્ટની પહેલશ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર ગાયોના સંવર્ધન માટે આશરે 230 જેટલા ગૌવંશનું પાલન કરવામાં આવે છે. ગીર બ્રીડ શુદ્ધ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને નિઃશુલ્ક 'નંદી' પણ આપવામાં આવે છે. મકરસંક્રાંતિએ દાનનું વિશેષ મહત્વ હોવાથી ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાઓ જાહેર કરવામાં આવી છે: ભક્તો માટે ઉપયોગી માહિતીમકરસંક્રાંતિના દિવસે સોમનાથમાં પવિત્ર સ્નાન અને દાનનો મહિમા હોવાથી લાખોની મેદની ઉમટી પડવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગૌ-ભક્તોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ પવિત્ર દિવસે ગૌ-સેવા કરી પુણ્યનું ભાથું બાંધે. કેવી રીતે નોંધણી કરવી?ભક્તો પૂજાવિધિ કે દાન માટે શ્રી સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ www.somnath.org પર વિઝિટ કરી શકે છે અથવા મંદિરના સંપર્ક કેન્દ્ર પરથી માહિતી મેળવી શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 9:28 am

બોટાદમાં ઉતાવળી-મધુમતી નદીની સફાઈ શરૂ:નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા વ્યાપક ઝુંબેશ

બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત બોટાદ શહેરમાં આવેલી ઉતાવળી અને મધુમતી નદીની સફાઈ કામગીરી સઘન રીતે ચાલી રહી છે. આ ઝુંબેશ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. તેમાં શહેરના રહેણાંક અને બિન-રહેણાંક વિસ્તારો, મુખ્ય માર્ગો, માર્કેટ વિસ્તાર તેમજ પ્રવેશદ્વારોનો સમાવેશ થાય છે. પ્રવેશદ્વારો પર જમા થયેલાં ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ચીફ ઓફિસર અને સેનિટેશન ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દૈનિક ચેકિંગ કરીને સ્વચ્છતા કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત જાહેર રસ્તાઓ અને સ્થળોએ ગંદકી ફેલાવતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો સામે દંડકીય કાર્યવાહી પણ કરાઈ રહી છે. આ ઉપરાંત, ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા વાહનો નિયમિતપણે કચરો એકત્રિત કરે છે કે નહીં તેની પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 9:11 am

સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં લોકસંગીતની મહેફિલ:ભાવેશ આહીર અને જસવંતી ગોસ્વામીએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ચાલી રહેલા વિન્ટર ફેસ્ટિવલ-2025 દરમિયાન લોકસંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા લોકગાયક ભાવેશ આહીર અને લોકગાયિકા જસવંતી ગોસ્વામીએ તેમના મધુર સ્વરો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ભાવેશ આહીરે પરંપરાગત આહીર સમાજના લોકગીતો, રાસ અને ગરબા રજૂ કર્યા. ઢોલ–નગારા અને અન્ય લોકવાદ્યોના તાલ સાથે રજૂ થયેલા તેમના ગીતોમાં લોકસંસ્કૃતિની ઝલક જોવા મળી. યુવાનોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ તેમની ગાયકીનો આનંદ માણ્યો. ભાવેશ આહીર ગ્રામ્ય મેળા, લોકમેળા અને સાંસ્કૃતિક મહોત્સવોમાં લોકપ્રિય છે. લોકગાયિકા જસવંતી ગોસ્વામીએ કાર્યક્રમને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્પર્શ આપ્યો. તેમણે પરંપરાગત લોકગીતો, ભજનો અને લોકડાયરાનું ગાયન રજૂ કર્યું. તેમની ગાયકીમાં શ્રદ્ધા, સંસ્કાર અને લોકસંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો. ખાસ કરીને ભજન અને લોકડાયરાની રજૂઆત દરમિયાન શ્રોતાઓ શાંતિપૂર્વક સાંભળતા જોવા મળ્યા. આ કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઘણા પ્રવાસીઓએ મોબાઇલમાં વિડિયો અને ફોટા કેદ કરીને આ લોકસંગીતની યાદોને સાચવી રાખી હતી. હાજર દર્શકોએ તાળીઓ પાડીને અને હર્ષધ્વનિ કરીને કલાકારોને પ્રોત્સાહિત કર્યા. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં ભાવેશ આહીર અને જસવંતી ગોસ્વામીની જોડીએ લોકસંગીતની જીવંતતા દર્શાવી. બંને કલાકારોના સ્વરે ફેસ્ટિવલને સફળ બનાવ્યો અને લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 9:02 am

જીવ બચાવવા દંપતીની બીજા માળેથી પુકાર:નક્ષત્ર સોલેટર કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરની આગ બેનરના કારણે ચોથા માળે પહોંચી, બે હોટલ સહિત 14 દુકાનને નુકસાન, 7નું રેસ્ક્યુ

સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટર કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી સોફાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. જેમાં 14 જેટલી દુકાનો સહિત એક હોટલ પણ ઝપેટમાં આવી ગઈ હતી. દંપતી સહિત 7 જેટલા લોકો ફસાઈ ગયા હતા. જેમણે ફાયરના જવાનોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે અઢી કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. મોડી રાત્રે આગ લાગી ને અફરા તફરી થઈ ગઈમળતી માહિતી પ્રમાણે, પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાન આવેલી છે. જેમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આગ દુકાન બહાર લગાવેલા બેનરના કારણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. દંપતી ફાયર એક્ઝીટમાંથી પાછળની સાઇડ જીવ બચાવવા નીકળી ગયુંઘટના અંગે જાણ થતા ચાર ફાયર સ્ટેશનની 7થી વધુ ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની સાથે આગના કારણે દુકાન અને હોટલમાં ફસાયેલાનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. દુકાનોની ઉપર આવેલી બે હોટલમાં રોકાયેલા એક વૃધ્ધા અને કર્મચારી સહિત 7 જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સલામત નીચે ઉતારી લીધા હતા. જ્યારે દંપતી ત્રીજા માળેથી ફાયર એક્ઝીટમાંથી પાછળની સાઇડ જીવ બચાવવા નીકળી ગયું હતું. જેને લેડરથી સલામત નીચે ઉતરી લેવામાં આવ્યા હતા. બે હોટલ સહિત 14 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતીગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાનમાં ગાદલા અને ખુરશી તેમજ ફોર્મ સહિતના જુલનશીલ સામાનના કારણે આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ દુકાનની બહાર લગાવેલા બેનરોના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. આ આગની અંદર બે હોટલ સહિત 14 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી. જેના પગલે દુકાનોમાં ભારે નુકસાન થયું છે. આગના આ બનાવવામાં સોફા ખુરશી, ફોમ, બ્યુટી પાર્લર સહિતની દુકાનોને નુકસાન થયું હતું. સદનસીબે આગના બનાવવામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. આગ પર કાબૂ મેળવવા ફાયરે હજારો લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવતા અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. સમગ્ર આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 8:59 am

નવસારીના ભંગારના ગોડાઉનમાં આગ:ઘેલખડી વિસ્તારમાં મોટું નુકસાન, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

નવસારીના ઘેલખડી વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ઘટના મળસ્કે 4 વાગ્યા આસપાસ ઘેલખડી તળાવ નજીક બની હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર સાથે જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર વિભાગની સતત ત્રણ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. આ ભીષણ આગમાં ગોડાઉનમાં રાખેલો ભંગાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. જોકે, ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 8:52 am

પંજાબી બિરાદરીનું 33મું પરિચય સંમેલન સંપન્ન:111 દીકરીઓ, 222 દીકરાઓએ ભાગ લીધો, સમૂહ લગ્નની તૈયારી

ગુજરાતમાં પંજાબી બિરાદરી દ્વારા લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે 33મા પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 111 દીકરીઓ અને 222 દીકરાઓએ નોંધણી કરાવી હતી. પંજાબી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સંમેલનમાં લગ્નોત્સુક યુવક-યુવતીઓના ફોટા અને સંપૂર્ણ બાયોડેટા સાથેની પુસ્તિકા સભ્યોને આપવામાં આવી હતી. આ પુસ્તિકાના આધારે પરિવારોએ એકબીજા સાથે મુલાકાતો ગોઠવી હતી. જન્માક્ષર મેળવવા અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ગદર્શન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સંમેલનમાં આવેલા સભ્યોનું ગેટ પર ચંદન, કુમકુમ અને પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવક-યુવતીઓ અને તેમના પરિવારજનો માટે મુલાકાત તથા ચર્ચાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હતી. પંજાબી બિરાદરી નવરંગપુરા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નવીનભાઈ પુનિયાનીએ જણાવ્યું હતું કે આ વર્ષના પરિચય સંમેલનમાં મોટી સંખ્યામાં પંજાબી પરિવારોએ ભાગ લીધો હતો. તેમણે ઉમેર્યું હતું કે, પંજાબી બિરાદરી દ્વારા આગામી સમયમાં સમૂહ લગ્નનું આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે. આયોજકો અને સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમ માટે કટિબદ્ધ છે. સમાજમાં લગ્ન પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચાઓને કારણે મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ પડે છે. આ બોજ ઘટાડવા અને સાદગીપૂર્ણ લગ્નોને પ્રોત્સાહન આપવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના શુભચિંતકો અને દાતાઓ આર્થિક સહયોગ આપવા તૈયાર છે. ટ્રસ્ટના પદાધિકારીઓ અને યુવાનો આ આયોજનને સફળ બનાવવા માટે કાર્યરત છે. સંમેલનના શુભારંભમાં નાની બાળકીઓ દ્વારા શ્રી ગણેશ અને સ્વાગત નૃત્ય-ગીત રજૂ કરવામાં આવ્યા હતા. આમંત્રિત મહેમાનો માટે ચા-નાસ્તા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 8:44 am

થર્ટી ફસ્ટને લઇ વલસાડ પોલીસ એક્શન મોડમાં:હાલર ચાર રસ્તા પર ચેકપોસ્ટ ગોઠવી, દમણથી આવતા વાહનચાલકોનું સઘન ચેકિંગ

થર્ટી ફર્સ્ટની ઉજવણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો અને દારૂ પીને વાહન હંકારતા ચાલકો સામે વલસાડ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર હાલર ચાર રસ્તા પાસે હંગામી ચેકપોસ્ટ ઉભી કરીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ સિટી પોલીસની ટીમે બ્રેથએનલાયઝર વડે વાહનચાલકોનું સઘન ચેકિંગ કર્યું હતું. આ કાર્યવાહી દમણથી દારૂ પીને આવતા વાહનચાલકોમાં જોવા મળી હતી. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય દારૂબંધીના કડક કાયદાનું પાલન કરાવવાનો છે. થર્ટી ફર્સ્ટની પાર્ટીઓની આડમાં દારૂ પીને વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. દમણથી દારૂ પીને આવતા વાહનચાલકોને કારણે અકસ્માતનો ભય રહે છે, જેથી લોકો સુરક્ષિત રીતે ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવા આ પગલું લેવાયું છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પ્રોહિબિશન જેવા ગુનાઓને રોકવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના પારડી, વલસાડ, વાપી, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી લોકો થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે દમણ જતા હોય છે. આથી વલસાડ જિલ્લા પોલીસ દારૂબંધીના કાયદાની કડક અમલવારી સુનિશ્ચિત કરશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 8:05 am

સંમેલન‎:ગંગાસ્વરૂપ બહેનોને આપવામાં આવતાં‎પેન્શનમાં વધારાની માગ સાથે સંમેલન‎

ભરૂચ - નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ તરફથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ગંગાસ્વરૂપ બહેનોને આપવામાં આવતાં પેન્શનની રકમમાં વધારો કરવા સહિતની માગણીઓ કરવામાં આવી હતી. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર હિતરક્ષક સમિતિ તરફથી ગંગાસ્વરૂપ બહેનોનું ચોથું મહાસંમેલન યોજાયું હતું. ભરૂચ - નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ચોથું વિરાટ અધિવેશન રવિવારે આયોજિત થયું. વીર નર્મદ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સલેસર ડો. અશ્વિન કાપડિયા સહીતના મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી સંમેલનની શરૂઆત કરાઈ હતી. હિત રક્ષક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાંસિયા તરફથી ગંગાસ્વરૂપ બહેનોને પેન્શન આપવા બદલ સરકારનો આભાર વ્યકત કરાયો હતો પણ આ પેન્શનની રકમ રૂા.3000 કરવામાં આવે તેવી માગણી કરાઇ હતી. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ પોતાની સમસ્યા રજૂ કરી હતી હિત રક્ષક સમિતિ તરફથી તેનો ઉકેલ લાવવા ખાતરી અપાઈ હતી. સાથે જ આગામી વર્ષે 27 ડિસેમ્બરે મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરાઈ હતી. સંમેલનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અગ્રણી કનુભાઈ પરમાર, રણજીત ડાભી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલ, પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ સહિતના મહાનુભવો જોડાયા હતા. ગંગાસ્વરૂપ બહેનોને પેન્શન મળે તે માટે ભરૂચથી લડતના મંડાણ થયા હતા. જેને સફળતા પણ મળી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 7:09 am

વાહનચેકિંગ:નવા વર્ષ પહેલાં નર્મદાની ધનશેરા ચેકપોસ્ટ ખાતે સઘન વાહનચેકિંગ

નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહયાં છે ત્યારે ગુજરાતમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ પણ સજજ બની છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાથી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે નર્મદા જિલ્લાની ધનશેરા ચેકપોસ્ટનો રસ્તો બુટલેગરો પસંદ કરતાં હોય છે. નવા વર્ષને ધ્યાને રાખી આ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે. ત્યારે હાલ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રથી દારૂ કે અન્ય કેફી પદાર્થ જિલ્લામાં ના ઘૂસે તે માટે એસપી વિશાખા ડબરાલની સૂચનાથી સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ સહિત રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ માંથી આવતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પીએસઆઈ જસવંત લટા અને તેમનો સ્ટાફ વાહનચેકિંગ કરી રહયો છે. મહારાષ્ટ્રમાંથી અને નર્મદા ડેમ વિસ્તારના પાછળના ભાગે થઈ બિનઅધિકૃત રીતે આંતરરાજયમા હેરાફેરી કરી ગુજરાત રાજયમા ન ઘુસી શકે એ માટે કેવડીયા એકતનગર ડેમ સુરક્ષા સહિત સાગબારાના ઘનશેરા ચેક પોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી અને વાહન ચેકીંગ હાથ ધર્યું છે. ખાસ કેટલાક યુવાનો મહારાષ્ટ્ર માથી દારૂનો નશો કરીને આવે છે તેમાના પર પણ તવાઇ બોલાવી ને બ્રેથ એનેલાઇઝરથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. દરેક ગાડીનું ચેકીંગ કરવામાં આવે છે. સાથે નશેબાજોને ઝડપવા બ્રેથ એનેલાઈઝર નો ઉપયોગ કરી જો શંકાસ્પદ જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.. આ સાથે જિલ્લામાં યોજાતી પાર્ટીઓ અને ડાન્સ ડિનર પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે. કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કરશે તો તેની ખેર નથી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 7:08 am

ભાસ્કર ઈનસાઈડ:પાનોલીની સલ્ફર મિલમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી, કોઇ જાનહાનિ નહીં

પાનોલી જીઆઇડીસીમાં આવેલી સલ્ફર મિલ નામની કંપનીમાં રવિવારે બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. આગના ધૂમાડાની સાથે ગેસ ગળતર થયું હોવાની લોકોએ ફરિયાદ કરતાં તંત્રમાં દોડધામ મચી હતી. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ઉદ્યોગોમાં આગ સહિતના અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મીલ કંપનીમાં રવિવારના રોજ બપોરે આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા ની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગાઢ ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતાં. ધૂમાડાની સાથે ગેસ ગળતર થયું હોવાની ફરિયાદ નજીકમાં આવેલાં સંજાલી ગામના લોકોએ કરી હતી. આગની ઘટના બાદ ફાયરની ટીમો દોડી આવી હતી અને અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટના બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફટી તથા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. કંપનીના યુનિટ હેડ વાસ્તુપાલ શાહ એ વાતચીતમાં જણાવ્યું હતું કે કંપની પ્લાન્ટમાં સ્પ્રે ડ્રાયરમાં ફર્ટિલાઇઝરને લગતી સલ્ફરની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન આગ લાગી હતી. સંજાલી ગામ પાનોલી જીઆઇડીસીને અડીને આવેલું ગામ છે. થોડા મહિના પહેલાં પાનોલીની સંઘવી કેમિકલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના ધૂમાડાઓના કારણે સંજાલીના લોકોને બે વખત ગામ છોડીને હાઇવે પર આવેલી હોટલો પર આશરો લેવાની ફરજ પડી હતી. રવિવારે પણ સલ્ફર મિલમાં લાગેલી આગ બાદ લોકોએ ગેસ ગળતર થતાં બળતરા અનુભવી હોવાની ફરિયાદ કરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 7:07 am

કૃષિ ઉત્કર્ષ પહેલ યોજનાની શરૂઆત:સહકારી મંડળીઓથી પ્રાકૃતિક ખેત પેદાશ વિદેશમાં વેચાશે

ભરૂચ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે કૃષિ ઉત્કર્ષ પહેલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. કૃષિ ઉત્કર્ષ પહેલ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતમિત્રોને ફરીથી પ્રાકૃતિક ખેતી તરફ વળતા કરવો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રમાણપત્ર ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. ખેડૂતોના જૂથ બનાવી સર્ટીફીકેશન પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે. યોજનાના પ્રથમ વર્ષ દરમિયાન ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં રચાયેલા કુલ 13 જૂથોના 4007 ખેડૂતોને વર્ષ 2024 માં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ તરફથી સ્કોપ સીઆઇ સર્ટીફીકેશન આપવામાં આવ્યું હતું. યોજનાના બીજા વર્ષમાં ભારત સરકારની અપેડા સંસ્થા તરફથી અમલમાં રહેલા નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન ની નવી 8 મી આવૃત્તિ મુજબ ફરજિયાત લીગલ એન્ટિટી હોવાની શરતને ધ્યાને લઈ. ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં કુલ 13 સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે. અને 17 ડિસેમ્બરે આ 13 મંડળીઓના પ્રમુખો જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ વચ્ચે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. તેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમનો પાક વિદેશ માં વેચી શકશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 7:06 am

ગામ ગામની વાત:મલેકપુરમાં દોઢ કરોડના આરસીસી રોડની કામગીરી શરૂ કરાઇ

વિરભદ્રસિંહ સિસોદિયાલુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં મલેકપુર કોલોનીથી ચામુંડા મંદિર, ગામના ચોતરાથી નવી વસાહત સુધીનો રસ્તો ખુબજ ઉબડખાબડ હોવાથી પાણી ભરાઈ જતા હતા અને તેના લઈ ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જેમાંથી જીવ જંતુ અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ વ્યાપક પ્રમાણમાં હોવાથી સ્થાનિકોને રોગચાળનો ડર સતાવી રહ્યો હતો. આ પરિસ્થિતિને લઈ સ્થાનિકો પોતાનું સ્વાસ્થ જોખમાતું હોવાથી નવીન રોડ બનાવવા માટે રજુઆત કરી હતી. રજુઅતાને લઇને તંત્ર દ્વારા અંદાજિત દોઢ કરોડના ખર્ચે એક કિમીનો આરસીસી રસ્તો મંજૂર થયો હતો. ત્યારે તંત્ર દ્વારા મંજુરી મળ્યાને ટુક સમયમાં રસ્તાની કામગીરી ચાલુ થતા જ ગામ લોકોમાં આનંદ છવાયો છે. ત્યારે ગામ સ્વચ્છ બનાવવામાં પણ આ નવીન રસ્તો ખૂબ સાર્થક નીવડશે. વધુમાં ગ્રામજનો સાથે બહારથી આવતા લોકો માટે પણ રોજિંદી વપરાશ અને અવર જવરનો આ મુખ્ય રસ્તો છે. આ રસ્તો ખૂબ આ રસ્તાનું નવીની કરણ કાર્ય આરંભતા તમામ સમસ્યાનું નિરાકરણ આવ્યાની મલેકપુરના સ્થાનિકો સહિત અન્ય લોકો આશા સેવી રહ્યા છે. ગંદકીમાંથી મુક્તિ મળશેરસ્તાનું નવિનીકરણ કરવામાં આવશે અને હાલ જે તૂટેલો રસ્તો છે અને ગંદકીમાંથી મુક્તિ મળશે. નવીનીકરણ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે આરસીસી રસ્તાનું કામ ચાલુ થતાં જ ગામ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. મલેકપુરવાસીઓને ગંદકીમાંથી મુક્તિ મળશે. - ધવલભાઈ પટેલ, સરપંચ, મલેકપુર રસ્તાનું કામ ચાલુ થતાં લોકોમાં ખુશીછેલ્લા કેટલાય સમયથી ડામરનો રસ્તો તૂટેલી હાલતમાં હોવાથી પાણીના ખાબોચિયા ભરાઈ રહેલા જોવા મળતા હતા. ગંદકી પણ બહુ જ થતી હતી. ત્યારે આરસીસી રસ્તાનું કામ ચાલુ થતાંજ ગામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. રસ્તો નવો બનશે તો ગંદકી પણ દૂર થશે. - દિગ્વિજયસિંહ સિસોદિયા, રહીશ { કુલ વસ્તી : 4500 { જિલ્લા મથક નું અંતર : 20 કિમી { કનેક્ટિવિટી : ડામર રોડ { પ્રસિદ્ધ સ્થળ : હનુમાનજી મંદિર { સાક્ષરતા : 85%

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 7:02 am

મંડે પોઝિટીવ:લુણાવાડાના આહુજા પરિવારે લગ્નનો 90 હજારનો ચાંલ્લો પાંજરાપોળને અર્પણ

નિતુરાજસિંહ પુવાર વર્તમાન સમયમાં લગ્નપ્રસંગોમાં લાખો રૂપિયાનો ધુમાડો કરાતો હોય છે. ત્યારે લુણાવાડાના જાણીતા અગ્રણી અને જલારામ ટ્રેડર્સવાળા વસંતભાઈ આહુજાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવાની સાથે સમાજ માટે એક નવી કેડી કંડારી છે. જેમાં આહુજા પરિવારે અગાઉથી જ નક્કી કર્યું હતું કે દીકરીના આ શુભ પ્રસંગે જે પણ રકમ ભેટ તરીકે આવશે, તેનો ઉપયોગ વ્યક્તિગત નહી કરીને પરોપકારના કાર્યમાં ઉપયોગ કરાશે. જેથી તેમણે અબોલ પશુઓની સારસંભાળ રાખતી સુવિખ્યાત સંસ્થા ‘ગોધરા પાંજરાપોળ'ને દાનમાં આપવાનો નિર્ણય કર્યો હતો. લગ્ન સમયે આહુજા પરિવારે મંડપમાં ચાંલ્લાના ટેબલ પર ટ્રસ્ટના સભ્યોને બેસાડ્યા હતા. જ્યારે પરિવારજનો અને સંબંધીઓ ચાંલ્લાના રકમ લખાવવા આવતા ત્યારે તે રકમની પાંજરાપોળ ટ્રસ્ટની પહોંચ આપવામાં આવી હતી. લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ ચાંલ્લાની રકમની ગણતરી કરતા રૂા.90 હજાર થઇ હતી. ટ્રસ્ટને મળેલી આ રકમનો ઉપયોગ અબોલ પશુઓના નિભાવ અને ઘાસચારા માટે કરવામાં આવશેનું સંસ્થા દ્વારા જણાવાયુ છે. ત્યારે ખુશીના પ્રસંગે પશુ-જીવદયાના કાર્યને પ્રાધાન્ય આપીને આહુજા પરિવારે સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે આહુજા પરિવારે ‘દીકરીના કરિયાવર'માં માત્ર ભૌતિક વસ્તુઓ જ નહીં, પણ પુણ્યનું ભાથું બાંધી આપીને એક નવી રાહ ચીંધી છે. સમાજને એક નવી રાહ ચીંધી છેઆહુજા પરિવારના આ ભગીરથ કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે, દીકરીના વિદાય ટાણે આવા પુણ્યના કાર્યથી દીકરીના નવા સંસારમાં પણ આશીર્વાદ જળવાઈ રહે છે. આ પ્રસંગે આહુજા પરિવારે જણાવ્યું હતું કે, અબોલ જીવોની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. અમે ઈચ્છીએ છીએ કે સમાજના અન્ય લોકો પણ શુભ પ્રસંગોએ આવી રીતે પરોપકારના કાર્યોમાં જોડાય.આમ, લુણાવાડાના આહુજા પરિવારે લગ્નના ભપકા અને દેખાડાના બદલે સેવાને પ્રાધાન્ય આપીને સમાજને એક નવી રાહ ચીંધી છે. જો દરેક પરિવાર પોતાના ઘરના શુભ પ્રસંગોએ આ રીતે સામાજિક જવાબદારી સમજીને દાન કરવાની પરંપરા શરૂ કરે, તો અનેક સેવાભાવી સંસ્થાઓને આર્થિક બળ મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 7:01 am

ગામ ગામની વાત:પાંચાળની ધરતીમાં લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર વિસામણ બાપુની જગ્યા-પાળિયાદ‎

સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ તેની આધ્યાત્મિક‎વિરાસત માટે જાણીતો છે, જેમાં બોટાદ‎પાસે આવેલું પાળિયાદ ધામ વિશેષ આદર‎ધરાવે છે. ગોમા નદીના કિનારે આવેલું આ‎યાત્રાધામ આજે પણ પૂ. વિસામણ બાપુના‎આશીર્વાદ અને માનવ સેવાના કાર્યોથી‎મહેકી રહ્યું છે.‎ પાળિયાદની આ પવિત્ર જગ્યાના આદ્ય‎સ્થાપક પૂ. વિસામણ બાપુનો જન્મ સંવત‎1825માં મહા સુદ પાંચમના રોજ થયો‎હતો. કાઠી કુળમાં જન્મેલા બાપુને ખુદ‎રામદેવપીરનો અવતાર માનવામાં આવે‎છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન‎અનેક પીડિતોના સંકટ દૂર કર્યા હતા. સંવત‎1885માં જ્યારે તેમણે જીવનલીલા સંકેલી,‎ત્યારે પોતાના અનુગામી લક્ષ્મણજી બાપુને‎સાધુ-સંતો અને ગાયોની સેવા કરવાની‎સાથે સાથે અભ્યાગતને ‘ટુકડો’ (ભોજન)‎આપવાની પરંપરા ચાલુ રાખવા આદેશ‎આપ્યો હતો.‎ વિસામણ બાપુની એ ભવિષ્યવાણી કે‎તમારી પેઢીએ પેઢીએ પીર પાકશે, આજે‎પણ અક્ષરશઃ સાચી ઠરી રહી છે. લક્ષ્મણજી‎બાપુથી શરૂ થયેલી આ પરંપરામાં મોટા‎ઉનડબાપુ, દાદાબાપુ અને અમરાબાપુ‎જેવા સમર્થ પુરુષોએ ગાદી શોભાવી છે.‎ હાલમાં આ ગાદી પર સાતમી પેઢીએ પ.પૂ.‎1008 મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા‎બિરાજમાન છે, જેઓ આ ગૌરવશાળી‎પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.‎પાળિયાદ ધામની સૌથી મોટી વિશેષતા‎અહીંનું અન્નક્ષેત્ર છે.‎ મહંત શ્રી નિર્મળાબાના જણાવ્યા‎અનુસાર, અહીં 250 વર્ષથી અન્નદાનની‎પરંપરા ચાલે છે. દર અમાસે અહીં 1 થી‎1.50 લાખ લોકો પ્રસાદ ગ્રહણ કરે છે.‎મહત્વની વાત એ છે કે આ અન્નક્ષેત્ર 24‎કલાક કાર્યરત રહે છે; રાત્રે ૨ વાગ્યે પણ જો‎કોઈ ભૂખ્યું વ્યક્તિ આવે, તો તેને‎સન્માનપૂર્વક ભોજન કરાવવામાં આવે છે.‎આ જગ્યા આજે પણ લાખો શ્રદ્ધાળુઓ‎માટે આસ્થાનું પરમ ધામ બની રહી છે.‎ ગામની સુવિધાપંચાયત ઓફિસ હોસ્પિટલ, હાઇસ્કુલ, પ્રાથમિક શાળા, આંગણવાડી, ઘરે ઘરે નળ તેમજ બોર દ્વારા પીવાના પાણી ની સગવડ, રોડ રસ્તાની સુવિધા, ત્રણ જેટલા તળાવો આવેલ છે. યુવા પેઢી માટે ધર્મ અને ટુરીઝમનો અનોખો સંગમ‎ :‎પૂ.ભયલુ બાપુ- પાળિયાદ જગ્યાના સંચાલક‎પાળિયાદ જગ્યાના સંચાલક પૂ. ભયલુ બાપુના જણાવ્યા અનુસાર, યુવાઓને ધાર્મિકતા અને‎શિક્ષણ સાથે સાંકળવા માટે ભવ્ય આયોજન હાથ ધરાયું છે. શિક્ષણ અને આરોગ્ય: ''વિહળ‎ઈન્ટરનેશનલ વિદ્યાપીઠ''માં ૧૩૦૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તેમજ આગામી સમયમાં‎આધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ થશે. નિર્મળધામ પ્રોજેક્ટ: કમખીયા ગામમાં ૨૦૦ વીઘા‎જમીનમાં ૪ મંદિરો અને ૫ વિશેષ ભવનો (રાષ્ટ્ર, સનાતન, વિહળ, અન્નપૂર્ણા) બનાવવામાં‎આવ્યા છે, જ્યાં ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ નિહાળવા મળશે. પર્યાવરણ અને‎આધ્યાત્મ: અહીં નક્ષત્ર વન, રાશિ વન અને ગ્રહ વન તૈયાર કરાયા છે. હવે લુપ્ત થતા વૃક્ષોનું‎વન અને સંપૂર્ણ રામાયણના દર્શન કરાવતું ''રામ વન'' પણ વિકસાવવામાં આવશે.‎

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 7:00 am

દુષ્પ્રેરણાની ફરિયાદ:પત્નીના પ્રેમીએ હત્યા કરવાની ધમકી આપતા ગભરાયેલા પતિએ દવા પી લીધી

ભુરખલ ગામના યુવાને પત્ની અને તેના પ્રેમીના કારણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. યુવકનું મોત થતાં તેના ભાઈએ મૃતક ભાઇની પત્નિ અને તેના પ્રેમી સામે મરવા માટેની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. શહેરા તાલુકાના ભુરખલ ગામનો ગીરીશ હાલોલ ખાતે પત્ની અલ્પા સાથે રહી એક ખાનગી શો-રૂમમાં નોકરી કરતો હતો. લગ્નના ત્રણ વર્ષ બાદ પત્નીને તેની જ કંપનીમાં કામ કરતા સુનીલ વસાવા સાથે પ્રેમસંબંધ હોવાની જાણ ગીરીશને થઈ હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગત તા.22 નવે.2025ના રોજ પ્રેમી સુનીલે ગીરીશના ઘરે જઈ ધમકી આપી હતી કે, જો પહેલી તારીખે રૂમ ખાલી નહીં કરે તો તારું મર્ડર કરી નાખીશ. પત્ની અને પ્રેમીના ત્રાસથી ગીરીશ એટલો ડરી ગયો હતો કે તેણે પોતાના ભાઈ ભાવેશને ફોન કરીને રડતા રડતા આજીજી કરી હતી કે ભાઈ તું મને બચાવવા આવ. સુનીલ અને તારી ભાભી મને જીવવા નહીં દે. એ લોકો મારું મર્ડર કરે એના કરતાં હું પોતે જ મરી જાઉં એ સારું છે. માનસિક યાતના અને બદનામીના ડરથી ભાંગી પડેલા ગીરીશે પોતાની માતાને પણ ફોન પર મારા છેલ્લા રામ-રામ કહીને વિદાય માંગી હતી. ત્યાર બાદ શહેરાના ભુરખલ સ્થિત ઘરે તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બે દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં ગીરીશનું મોત નીપજ્યું હતું. ગીરીશના મોત બાદ તેના મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગ અને પુરાવાઓના આધારે શહેરા પોલીસે તપાસ તેજ કરી છે. ભાઈ ભાવેશની ફરિયાદના આધારે પોલીસે આરોપી અલ્પા અને સુનીલ વસાવા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. હાલ પી.આઈ. એ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 7:00 am

સાહેબ મીટિંગમાં છે:સચિવાલયમાં સિનિયર-જુનિયર IAS વચ્ચે બાકાઝીકી, સંગઠનમાં સ્થાનની રાદડિયાના સમર્થકો રાહ જોતા રહ્યા'ને કોરાટ બાજી મારી ગયા

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ચાર કલેકટર સસ્પેન્ડ, પાંચમાં તપાસના ઘેરામાંજમીન સંબંધિત કેસોમાં અત્યાર સુધી ચાર જિલ્લા કલેક્ટરો સામે કડક કાર્યવાહી થઈ ચૂકી છે અને હવે સુરેન્દ્રનગરના આશરે 1,500 કરોડના જમીન કૌભાંડમાં એક વધુ કલેક્ટર ચર્ચાના કેન્દ્રમાં છે. IAS અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ સામે ED અને ACBની તપાસ ચાલી રહી છે. હાલ તેમને GAD હેઠળ મૂકવામાં આવ્યા છે, પરંતુ સચિવાલયની ગપસપ પ્રમાણે આ “હોલ્ડિંગ પોસ્ટ” છે કે પછી આગળની કાર્યવાહી પહેલાંનું વિરામ— એ ચર્ચાનો વિષય છે. આ પહેલાં આયુષ ઓક, પ્રદીપ શર્મા, કંકિપાટી રાજેશ અને એસ.કે. લાંગા સામે થયેલી કાર્યવાહી બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે જૂના જમીનના નિર્ણયોની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. અગાઉ જે ફાઈલો વર્ષો સુધી બંધ પડી હતી, એ હવે ફરી ખૂલતી દેખાય છે. થોડા કલાકમાં બે વખત ટ્રાન્સફર,ફાઈલ હજી ઠરી નહોતીસચિવાલયમાં તાજેતરના ફેરબદલમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા 1998 બેચના IAS અધિકારી મોહમ્મદ શાહિદ. પહેલા સામાજિક ન્યાય વિભાગ, પછી થોડા જ કલાકોમાં કોટેજ એન્ડ ગ્રામ ઉદ્યોગ વિભાગ. આ પહેલીવાર નથી— ભૂતકાળમાં પણ તેમની એક બદલી બીજા દિવસે જ રદ થઈ ચૂકી છે.બીજી બાજુ વાહનવ્યવહાર કમિશનર અનુપમ આનંદનું નામ બદલીની યાદીમાંથી અદ્રશ્ય થઈ ગયું છે. ન પોસ્ટિંગ, ન “વેઇટિંગ ફોર પોસ્ટિંગ”. સચિવાલયમાં સવાલ છે— આ વહીવટી ભૂલ છે કે કોઈ મોટા નિર્ણય પહેલાંનું મૌન? પ્રમોશન બાકી એટલે ફરી બદલી આવશે1 જાન્યુઆરી આસપાસ 1996 બેચના પાંચ અધિકારીઓને એડિશનલ ચીફ સચિવ તરીકે પ્રમોશન મળવાનું છે. એ સાથે જ ફરી એકવાર વહીવટી સમીકરણો બદલાશે. હાલ પણ ગૃહ વિભાગ વધારાના ચાર્જ પર ચાલી રહ્યો છે અને આશરે દસ જેટલા અધિકારીઓ પાસે મલ્ટિપલ જવાબદારીઓ છે. એટલે સચિવાલયમાં માનવામાં આવે છે કે હાલનો ફેરબદલ છેલ્લો નથી. અમદાવાદ, કચ્છ અને સુરતના કલેક્ટરોને લઈને પણ બે મત છે. કેટલાક માને છે કે પ્રમોશન આપીને ત્યાં જ યથાવત રાખવામાં આવશે, જ્યારે કેટલાક કહે છે કે પ્રમોશન સાથે જ બદલી થશે. આ અંગેનો જવાબ નવા વર્ષના શરૂઆતમાં મળશે. અધિકારીઓની ખાલી જગ્યાઓ વચ્ચે 1996 બેચના પાંચ IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન મળવાનું છે, જેમાં મોના ખંધાર, ટી. નટરાજન, મમતા વર્મા, રાજીવ ટોપનો અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 2001 બેચના બે અધિકારીઓ આરતી કંવર અને વિજય નહેરાને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન મળશે. આ પ્રમોશનો બાદ હાલ વધારાના ચાર્જથી ચાલતા લગભગ એક ડઝન વિભાગોમાં કાયમી પોસ્ટિંગ થશે. આ અગાઉ 1995 બેચના વત્સલા વાસુદેવ અને ડી. થારાને પ્રમોશન મળ્યા હતા. જાન્યુઆરીમાં પ્રમોશનો બાદ બ્યુરોક્રેટ્સમાં મોટા પાયે બદલીઓ થશે, જેમાં હોમ ડિપાર્ટમેન્ટ અને સીએમઓમાં કોની નિયુક્તિ થાય તેના પર તમામનું ધ્યાન કેન્દ્રિત છે. દિલ્લીથી પરત આવો એટલે પ્રાઇમ પોસ્ટિંગડેપ્યુટેશન પૂરી કરીને દિલ્લીથી પરત ફરતા IAS અધિકારીઓ માટે ગુજરાતમાં મહત્વપૂર્ણ પોસ્ટિંગ મળવાની પરંપરા ચાલુ છે. રાજીવ ટોપનો અને હવે વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સચિવ બનાવવામાં આવ્યા છે. તે જ રીતે 2006 બેચના ડો. અજય કુમાર, જેઓ સંરક્ષણ મંત્રાલયમાં સચિવ રહી ચૂક્યા છે, તેમને મુખ્યમંત્રીના સચિવ બનાવવામાં આવ્યા છે અને ગુજરાત મેરિટાઇમ બોર્ડનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે. ગપસપમાં કહેવાય છે કે દિલ્લીનો અનુભવ હવે ગાંધીનગરમાં વજનદાર ગણાય છે. IAS બદલીઓમાં CM અને MKDની છાપ26 સિનિયર IAS અધિકારીઓની બદલીઓ બાદ સચિવાલયમાં એક જ વાત સંભળાઈ— મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ મનોજ દાસની જોડીએ આ ફેરબદલમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અગાઉ જે ભૂમિકા કે. કૈલાશનાથન ભજવતા હતા, એ હવે મુખ્ય સચિવ તરીકે મનોજ દાસ નિભાવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. મુખ્યમંત્રીની તાજેતરની દિલ્હી મુલાકાત પછી જ ઓર્ડરો બહાર આવતા “હાઈકમાન્ડ લીલીઝંડી”ની ચર્ચા પણ ચાલી. CMOમાંથી અવંતિકા સિંહ કેમ બહાર?ચાર વર્ષ સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં રહેલી અવંતિકા સિંહની બદલી પણ ચર્ચાનો વિષય બની છે. સાંજે ઓર્ડર અને રાત્રે જ ચાર્જ છોડવો— આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. શું તેમણે સામેથી બદલી માગી હતી કે પછી ઉપરથી નિર્ણય આવ્યો? PSUમાં પોસ્ટિંગ મળતાં ઘણા અધિકારીઓ આ મુદ્દે ખુલ્લેઆમ ચર્ચા કરી રહ્યા છે. સિનિયર સહકારમાં, જુનિયર કૃષિમાં1990 બેચના અરુણ સોલંકીને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે, પરંતુ સહકારના બજેટ અને સંકલનવાળો કૃષિ વિભાગ તેમનાથી જુનિયર રમેશચંદ્ર મીના પાસે છે. IAS કેડરમાં આવું ભાગ્યે જ જોવા મળે છે, એટલે આ બદલી પણ ખાસ ધ્યાન ખેંચી રહી છે. સચિવાલયમાં સિનિયર અધિકારીએ જુનિયરને કહી દીધું 'ગેટઆઉટ'સચિવાલયમાં બે IAS અધિકારીઓ વચ્ચે ભારે ઝઘડો થયો હતો, જેમાં સિનિયર અધિકારીએ જુનિયરને કેબિનમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આ ઘટના ગાંધીનગર સચિવાલયમાં બની હતી, જ્યાં બંને અધિકારીઓ પોતાની કેબિનમાં જ બાખડ્યા હતા. મળતી માહિતી મુજબ, સિનિયર અને જુનિયર અધિકારી વચ્ચે કામકાજને લગતી વાતોમાં મતભેદ થયો હતો. જુનિયર અધિકારી સિનિયરની વાત માનવા તૈયાર નહોતા, ઉપરાંત વિભાગમાં થઈ રહેલા કથિત ભ્રષ્ટાચારને લઈને પણ સિનિયરે ઠપકો આપ્યો હતો. આ વાત સહન ન થતાં જુનિયર અધિકારી મોટા અવાજે બોલવા લાગ્યા હતા, જેના પર સિનિયરનો પારો ચડી ગયો હતો અને તેમણે જુનિયરને કેબિનમાંથી 'ગેટ આઉટ' કહીને હાંકી કાઢ્યા હતા.આ ઝઘડો લગભગ 10 મિનિટથી વધુ સમય સુધી ચાલ્યો હતો, જે દરમિયાન કેબિનમાંથી બુમરાડા સંભળાતા હતા. આ કારણે આસપાસના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ટેન્શનમાં આવી ગયા હતા. આ ઘટનાની બ્યુરોક્રેટિક વર્તુળમાં ભારે ચર્ચા થઈ રહી છે. રાદડિયાને સંગઠનમાં સ્થાન તો ન મળ્યું પણ હરિફ ગણાતા કોરાટ મહામંત્રી બની ગયા નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા નિશ્ચિત છે. તેમને કેબિનેટ મંત્રી બનાવાશે તેમનો કોઈ વિકલ્પ નથી, તેમની કોઇ સ્પર્ધા નથી આવી અનેક વાતો રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી હતી અને રાદડિયાના ટેકેદારો તો ખુબ જ ઉત્સુક હતા કારણ કે ફરી મંત્રી મંડળની આશા જોઈ લીધી હતી પરંતુ મંત્રીમંડળમાં સ્થાન ન મળતા આશા નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. શપથ સમારોહ વખતે સ્ટેજની સામે બેસી રાદડિયાએ પરાણે ચહેરો હસ્તો રાખીને પાર્ટીનો આદેશ શિરોમાન્ય હોવાની વાતો કરી હતી. જયેશ રાદડિયાને કપાવવામાં નરેશભાઈ પટેલનો જ હાથ છે તેવો ગણગણાટ થતા રાદડિયાએ તેમની સાથે હાથ મિલાવી સમાધાન કરી લીધું હોવાની ચર્ચા છે. આ પછી એવો ગણગણાટ શરૂ થયો હતો કે, મંત્રીપદ ભલે ન મળ્યું પરંતુ પ્રદેશ ભાજપના મહામંત્રી બનાવી પાર્ટી તેમની તાકાતનો ઉપયોગ જરૂર કરશે પરંતુ આ વખતે તો સૌ ઊંધું જ થયું અને તેમના જ વિરોધી અને તેના કટ્ટર રાજકીય હરીફ મનાતા જેતપુરના જ પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવી ભાજપે જયેશ રાદડિયાને મોટો ઝટકો આપ્યાનું રાજકીય વર્તુળોમાં ગઈકાલ રાતથી ચર્ચાઈ રહ્યું છે. પોલિસી પૂરી થઈ ગઈ હોય તે વિભાગને નવી ઘડવા માટે સરકારે સૂચના આપવી પડીગુજરાત સરકારના મોટા ભાગના વિભાગો માટે દર પાંચ વર્ષે પોલિસી જાહેર કરવામાં આવે છે, જેમાં ઉદ્યોગ, પર્યટન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, એવિએશન, શિક્ષણ, રમતગમત, શહેરી વિકાસ તથા મહેસૂલ જેવા મહત્વના ખાતાઓનો સમાવેશ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્રની બેદરકારીને કારણે અનેક પોલિસીઓની મુદત પૂરી થઈ હોવા છતાં નવી પોલિસી ઘડાતી નથી. જેના કારણે આવા વિભાગોમાં અનેક પ્રકારની ગૂંચવણો જોવા મળી રહી છે. કઈ પોલિસી ક્યારે પૂરી થવાની છે તેની જાણ તંત્રને હોવા છતાં અધિકારીઓ કશું કરતા નથી. સરકારના ધ્યાને આ વાત આવી છે, આથી ટોચના અધિકારીઓને પણ સૂચના આપી દેવાઈ છે કે જે વિભાગની પોલિસી પૂરી થઈ ગઈ હોય અથવા પૂરી થવાની હોય તે વિભાગમાં ફટાફટ નવી પોલિસી ઘડીને તેને સત્તાવાર જાહેર કરી દેવી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વિભાગોના વડાઓને પૂરી થતી અથવા સુધારા કરવાની થતી પોલિસીની પ્રક્રિયા છ મહિના પહેલાં શરૂ કરવાના આદેશ આપ્યા છે. આગામી ટૂંક સમયમાં 8થી 10 વિભાગ માટે નવી પોલિસીની જાહેરાત કરી શકાય છે. ટુરિઝમમાંથી રાજેન્દ્ર કુમારની અચાનક વિદાયટૂરિઝમ વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારને એક જ વર્ષમાં વાહનવ્યવહાર કમિશનર બનાવીને સચિવાલયની બહાર મોકલવામાં આવતા ચર્ચાઓ તેજ બની છે. કોઈ કહે ફિલ્મફેર એવોર્ડ કારણ બન્યો, કોઈ કહે સોશિયલ મીડિયામાં વધુ દેખાવ, તો કોઈ આંતરિક મતભેદની વાત કરે છે. સાચું કારણ કોઈ જાણતું નથી, પરંતુ સારા અધિકારીની અચાનક બદલી હંમેશા ગપસપને જન્મ આપે છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રારની નિમણૂક માટે આઉટસોર્સિંગથી અરજીઓ મંગાવાઈ!ગુજરાતમાં 2009માં ક્લાયમેટ ચેન્જ વિભાગની રચના કર્યા પછી તેને લગતાં કાર્યો તો શરૂ કરી દેવામાં આવ્યાં હતાં, પરંતુ દિવસેને દિવસે વધતી જતી જળ-વાયુ પ્રદૂષણની માત્રાને કારણે શિક્ષિત મેન પાવર તૈયાર કરવા આ વિભાગની અલાયદી યુનિવર્સિટી તૈયાર કરવા એક વર્ષ પહેલાં બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. હવે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (ગેડા) દ્વારા યુનિવર્સિટીનું માળખું ઘડવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સામાન્ય રીતે કોઈપણ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર એ કાયમી પોસ્ટ હોય છે, પરંતુ આ યુનિવર્સિટી માટે 90 હજારના માસિક પગાર સાથે રજિસ્ટ્રાર નિમવા આઉટસોર્સિંગથી અરજીઓ મંગાવવામાં આવતાં શિક્ષણ વિભાગમાં ગણગણાટ શરૂ થયો છે.સચિવાલયમાં ચર્ચા છે કે, યુનિવર્સિટીનું માળખું રચાયા પછી સરકાર વિધાનસભાના બજેટ સત્રમાં તેને મંજૂરી આપી શકે છે. કાંકરિયા કાર્નિવલના શુભારંભ સમયે ફોટો પાડવા ફોટોગ્રાફરોની પડાપડીરાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ 2025નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. કાર્નિવલ કાર્યક્રમમાં સરકારી સોશિયલ મીડિયાના ફોટોગ્રાફરોની ભરમાર જોઈને પોલીસ અને નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યક્રમના આ ફોટા પાડવા માટે એક સાથે ફોટોગ્રાફરોની ફોજ આવી જતા પોલીસને તેમને ખસેડવા પડ્યા હતા. જેની વચ્ચે બે થી ત્રણ વખત ફોટોગ્રાફર વચ્ચે આવતા અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલને પોતાની જગ્યા પરથી ઉભા થઈને ફોટોગ્રાફરને ખસેડવો પડ્યો હતો. સરકારી કાર્યક્રમમાં માહિતી ખાતાના ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર હોય છે પરંતુ હવે સોશિયલ મીડિયા અને સ્થાનિક એજન્સીઓ એટલા બધા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે કે ફોટા લેવા માટે ફોટોગ્રાફરોની ફોજ ઊભી કરાવી દેવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલમાં કોર્પોરેટર-અધિકારીઓને પોલીસનો કડવો અનુભવકાંકરિયા કાર્નિવલમાં ભાજપના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પોલીસનો કડવો અનુભવ થયો હતો. ભૂતકાળમાં વિવાદોમાં રહેલા અને હાલમાં જ અમદાવાદમાં પરત સ્થાન મેળવેલા નવા DYSPએ ભાજપના બે કોર્પોરેટરોને ગ્રીન રૂમ તરફ જવું હતું તો ત્યાં જવા દીધા નહોતા. અધિકારીઓ અને કોર્પોરેટરોને જ્યાંતી પ્રવેશ આપવામાં આવ્યો ને બહાર નીકળવાનું હતું એ જ જગ્યા ઉપરથી ત્યાં હાજર DYSPએ જવાની ના પાડી દીધી હતી. હાજર એક અધિકારીએ પણ કોર્પોરેટર હોવાનું કહ્યું છતાં પોતાના ખરાબ સ્વભાવથી જાણેલા એવા DYSPએ જવાની ના પાડતા બંને કોર્પોરેટરોને બીજા ગેટ તરફ જવું પડ્યું હતું ને ત્યાંથી બહાર આવું પડ્યું હતું. પ્રદેશ પ્રમુખ આગળ પાછળ ફર્યા પણ સંગઠનમાં હોદો ન મળ્યોગુજરાત ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનુભવી સિનિયરની સાથે યુવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે જોકે ટીમ જગદીશ વિશ્વકર્મા નવા જ યુવા ચહેરાઓ જોવા મળ્યા છે. ગુજરાત ભાજપના કેટલાક યુવા નેતાઓ હવે યુવાઓનો જમાનો છે અને નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખની આગળ પાછળ ફરી સંગઠનમાં સ્થાન મેળવવાના સપના જોનારા યુવા નેતાઓના સપના તૂટી ગયા છે. કેટલાક નેતાઓ પ્રદેશ પ્રમુખને આગળ પાછળ ફરતા હતા અને જવાબદારી સાથે સંગઠનમાં સ્થાન મળશે તેવું નિશ્ચિત માનતા હતા. જોકે પ્રદેશ પ્રમુખે જે રીતે સંગઠનમાં નિમણૂક કરી છે તેને જોતા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે માત્ર નેતાઓના આગળ પાછળ ફરવાથી નહીં પરંતુ પાર્ટીમાં કરેલું કામ જ સ્થાન અપાવી શકે છે. ગુજરાત ભાજપની ટીમ પાટીલમાં રહેલા કેટલાક નેતાઓ ફરીથી સંગઠનમાં સ્થાન મેળવવા માટે મહેનત કરી રહ્યા હતા પરંતુ હવે જે પ્રમાણે સંગઠનની જાહેરાત થઈ છે તેને જોતા આ નેતાઓની હવે ક્યાંય નિમણૂક થાય તેવું અત્યારે દેખાતું નથી. કારણ કે જે તે સમયે સંગઠનની ટીમમાં રહેલા યુવા નેતાઓથી લઈને કેટલાક નેતાઓ હવે પોતાનો જમાનો છે એમ માની અને કાર્યકર્તાઓ અને અન્ય નેતાઓની સાથે વર્તન કરી રહ્યા હતા. પરંતુ જે રીતે હવે સંગઠન બદલાયું છે ત્યારે આ નેતાઓને દૂર દૂર સુધી ક્યાંય જગ્યા મળે તેવું હાલ દેખાતું નથી. જોકે એક બે નેતાઓને કોઈ સેલના કન્વીનર તરીકેનો હવાલો મળી શકે પરંતુ કેટલાક યુવા નેતાઓને તો માત્ર પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કામગીરી કરવી પડે તો નવાઈ નહીં. સરકાર બાદ સંગઠનમાં પણ રાજકોટ શહેરની બાદબાકી ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ફેરફાર થયા એ સમયે રાજકોટ શહેરમાંથી એક પણ ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવ્યું ન હતું અને આ પછી સંગઠનમાં સ્થાન મળશે તેવી આશા અને ગણગણાટ રાજકોટના રાજકીય વર્તુળોમાં શરૂ થયો હતો. જો કે હવે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માંની ટીમમાં પણ રાજકોટ શહેરના એક પણ નેતાને સ્થાન ન મળતા સરકાર બાદ સંગઠનમાં પણ રાજકોટ શહેરની બાદબાકી થઇ જતા રાજકોટ શહેર ભાજપમાં કોઈ લાયક સક્ષમ કે દમદાર નેતા જ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 7:00 am

ફરિયાદ:દયાળકાંકરા ગામે કારે રાહદારીને અડફેટે લેતા ઇજા

ગોધરા.દયાળ કાંકરા ગામે રહેતા અને મૂળ અમદાવાદના કુજાડ ગામે રહેતા રાધાબેન સલાટે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે 26 ડિસેમ્બરે સાંજે તેઓના પતિ લાલાભાઈ સલાટ ચાલતા -ચાલતા પોતાના ઘરે આવી રહ્યા હતા. જે દરમ્યાન રસ્તે પુરઝડપે પસાર થતા એક ઈકો કારના ચાલકે રાહદારી લાલાભાઈ સલાટને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર પડી જતા તેઓને નાક ઉપર, મોઢાના ભાગે તેમજ ડાબા પગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત કરીને ફરાર થવામાં સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:58 am

વીર બાલ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ:વીર બાલ દિવસે અદ્વિતીય બલિદાન આપનાર ગુરુ પુત્રોને અપાઈ ભાવાંજલી

બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજના ચાર સાહિબજાદાઓના અમર બલિદાનને યાદ કરવા માટે વીર બાલ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ હતી. સાહિબજાદાઓનું શૌર્ય કાર્યક્રમમાં શિક્ષણ સેવા વર્ગ-2ના સંજયભાઈ ચૌધરીએ ચાર સાહિબજાદાઓના ત્યાગ અને અડગ ધર્મનિષ્ઠાનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે: મોટા સાહિબજાદા: અજીતસિંહ અને જુઝારસિંહે રણમેદાનમાં શત્રુઓ સામે લડતા વીરગતિ પ્રાપ્ત કરી હતી. જોરાવરસિંહ અને ફતેહસિંહે ધર્મ પરિવર્તનનો ઇનકાર કરી જીવતે જીવ દીવાલમાં ચણાઈ જવાની અસહ્ય યાતનાઓ સ્વીકારી પણ ટેક ન છોડી. આ બલિદાન સમગ્ર માનવજાત માટે શૌર્ય અને આત્મબળનું પ્રતીક છે. યુવા પેઢી માટે માર્ગદર્શક પ્રેરણા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા અધિક કલેક્ટર પી.કે. જાણકાંતે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સાહિબજાદાઓનું જીવન આજની યુવા પેઢી માટે આદર્શ છે. તેમણે વિદ્યાર્થીઓને અન્યાય સામે અવાજ ઉઠાવવા, ઈમાનદારી રાખવા અને હંમેશા દેશહિતને સર્વોપરી માનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ડીવાયએસપી સૈયદ, શિક્ષણ નિરીક્ષક વિક્રમસિંહ પરમાર. જિલ્લા રમત વિકાસ અધિકારી દિલીપભાઈ મિશ્રા અને યુવા વિકાસ અધિકારી દિનેશ દિહોરા. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને વીર બાલ દિવસની ઉજવણી કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:57 am

પોલીસે શંકાસ્પદને ઝડપી પાડ્યો:કદવાલના બોરકંડામાં સગીરાનો મૃતદેહ મળ્યો

છોટા ઉદેપુર જિલ્લાના નવરચિત કદવાલ તાલુકાના એક ગામની 13 વર્ષીય સગીરાની ઘરની બાજુના ખેતરમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે. આ સગીરા દીવસના સમયે ઘરે હતી, ત્યારે કોઈ અજાણ્યા ઈસમે આવીને સગીરાને કોઈ હથિયાર વડે હત્યા કરીને ઢસડીને બાજુના ખેતરમાં લઈ ગયો હતો. જ્યારે સગીરાની માતા બપોરે ઘરે આવતા દિકરી જોવા મળી ન હતી. જેથી તપાસ કરતા ઘરની બાજુના ખેતરમાં લોહીલુહાણ હાલતમાં પડેલી લાશ મળતા ચકચાર મચી ગઇ હતી.આ અંગે કદવાલ પોલીસને જાણ થતા કદવાલ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોધી હત્યાની ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. દરમિયાન પોલીસે ટેકનિકલ સોર્સિસથી તપાસ હાથ ધરતાં ગામના જ પ્રકાશભાઇ હટુભાઇ રાઠવાની અટક કરી પુછપરછ કરતાં ભાંગી પડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પરિવારમાં 5 સભ્યો મૃતક સગીરાના પરિવારમાં કુલ 5 સભ્યો છે. જેમાં પિતા, માતા, દાદી, સગીરા પોતે અને એક પરણાવી દીધેલી મોટી બહેન. પરિવાર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. સગીરા ગામની જ શાળામાં ધો. 8માંઅભ્યાસ કરતી હતી. સગીરાનો મોબાઇલ ઝાડ ઉપર લટકતો જોવા મળ્યોસગીરાની હત્યા કરીને લાશ મુકી હતી. તે ખેતરના છેડે એક ઝાડ છે. આ ઝાડ ઉપર સગીરાનો મોબાઇલ લટકી રહેલો નજરે પડ્યો હતો. જેને લઇને સગીરાએ પોતે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે. માતાપિતા ખેતરે જતા હત્યારાએ હત્યાને અંજામ આપ્યો કદવાલ તાલુકાના એક ગામની સગીરા સવારે પરિવારજનો સાથે ઘરે હતી. સવારના 8 વાગ્યે પિતા ખેતરે ગયા હતા. ત્યારે દિકરીએ માતાને ભૂંડના ત્રાસને લીધે પિતા સાથે ખેતર જવા માટે કહેતા માતા પણ ખેતર ગઈ હતી. ઘરે વૃદ્ધ દાદી અને દીકરી બે જ હતા.ત્યારે હત્યારાએ હત્યાને અંજામ આપ્યો હતો. સગીરાની આબરું લૂંટવાનો‎પ્રયાસ હોવાની આશંકા‎હત્યારા દ્વારા સગીરાની આબરૂ લુંટવાનો‎પ્રયાસ પણ કરાયો હોય તેવી શક્યતાઓ છે.‎સગીરાની હત્યા તેના ઘરે કરી હતી અને હત્યા‎કર્યા બાદ સગીરાને ઢસડીને બાજુના ખેતરમાં‎લઈ જઈને મૂકી દેવાઈ હતી. મૃતકની માતાના‎જણાવ્યા મુજબ સગીરાની લાશ જોઈ ત્યારે‎સગીરાના શરીર પર એકપણ કપડું ન હતુ.‎

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:50 am

ચોખ્ખા પાણીનો વેડફાડ:ધોબીઘાટ વિસ્તારમાં 20 દિવસથી પાણી લીકેજ

શહેરના ધોબીઘાટ વિસ્તાર પાસે આવેલી રાજ સોસાયટી નજીક બરાબર રોડના મધ્યમાં આવેલી પાણીની લાઇન તૂટી જતાં છેલ્લા વીસ દિવસથી વધુ સમયથી ચોખ્ખું વપરાશનું પાણી બિનજરૂરી રીતે વહી જતું હોવાનું બનાવ સામે આવ્યો છે. રોજ બપોરે લગભગ 2 વાગ્યાથી સાંજ સુધી ત્રણ અલગ-અલગ જગ્યાએથી પાણી લીકેજ થઈ રોડ પર વહેતું રહે અને આખરે નાળામાં સમાઈ જાય છે, છતાં જવાબદાર તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે અનેક વખત કોર્પોરેશનમાં ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. થોડા સમય પહેલાં જ આ રોડનું નવું કામ પૂર્ણ થયું હોવાથી, રોડ ફરી તોડવો ન પડે તે કારણસર તૂટેલી પાણીની લાઇનનું સમારકામ કરાતુ નથી. તંત્રની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્થાનિકોએ તાત્કાલિક લાઇનની મરામત કરી પાણીની વેડફાટ અટકાવવાની માગ છે તો લાઈન સરખી કરાય તો રોડને સરખો કરી દેવો જોઈએ તેવી માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:47 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરમાં આયોજન વિનાના રોડના કામથી ટ્રાફિક જામ થતા વાહનચાલકોને હાડમારી

ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરના અતિ વ્યસ્ત રહેતા માર્ગો પર પૂરતા આયોજન અને ટ્રાફિક વ્યવસ્થા ના અભાવ વચ્ચે રોડના કામ શરૂ કરાતા શહેરના વિસ્તારોમાં સાંજે અને સવારે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોને રોજિંદા આવન જાવન માં પરેશાની થાય છે. રહેણાંકી અને કોર્પોરેટ વિસ્તારની બરાબર મધ્યમાંથી પસાર થતો સહકારી આર્ટ થી સંસ્કાર મંડળ જતો તળાજા રોડ બંધ હોવાથી લોકોને પસાર થવું સમસ્યા બની રહી છે. જ્યારે ત્યાંના પેટા રોડ પર વાહનોનો ઘસારો ખૂબ રહે છે અને નીકળવાના માત્ર બે જંકશન પર ટ્રાફિક જામ થાય છે જેથી આ સમસ્યા ઉકેલવી કોયડા સમાન પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહી છે. આ રસ્તાઓમાં રૂપાણી સર્કલ થી સંસ્કાર મંડળ જતો રોડ ખોદી ને બનાવવામાં આવી રહ્યો છે જેના લીધે ત્યાંથી નાના વાહનો પસાર થઈ શકતા નથી જો સામસામે વાહનો આવી જાય તો નીકળવું જ પરેશાની બને છે. જ્યારે શશી પ્રભુ ચોકથી જોગર્સ પાર્ક જતો રસ્તો ખુલ્લો છે પરંતુ વાઘાવાડી તરફ જવું હોય તો સંસ્કાર મંડળ અથવા તો જવાહર ગ્રાઉન્ડના ખૂણે રિલાયન્સ મોલ વાળા ચોકમાં ટ્રાફિક જામ થાય છે, સાથે જ જવાહર મેદાનમાં જાહેર આયોજનો થતા સાંજ પડતા લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં આવતા વાહનો બહારની બાજુએ પાર્ક કરીને જતા રહેતા વાહનચાલકોને નીકળવું જ પરેશાની ભર્યું રહે છે. તેમજ સંસ્કાર મંડળ ખોડિયાર મંદિર પાસે રૂપાણી વાળો રસ્તો બંધ હોવાથી સરદાર નગર અને જોગસ પાર્ક તરફથી આવતા વાહનો એકબીજાને ક્રોસ થતા જામ સર્જાય છે. જેના લીધે પેટા રોડ તો નાના છે પરંતુ માત્ર બે જંકશન પર ટ્રાફિકનું દબાણ વધતાં વણસેલી પરિસ્થિતિ સાંજે અને સવારે ઊભી થાય છે. આવા સંજોગોમાં અહીં તાત્કાલિક ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવી જોઈએ અને રોડના કામ દરમિયાન વાહનોને ડાયવર્ઝન વ્યવસ્થિત આપી શકાય તે માટે મોડી સાંજે પણ પોલીસ જવાનો રાખવા તે ખૂબ જ જરૂરી છે. લોકોને પડતી આ સમસ્યા બાબતે કોર્પોરેશન અને પોલીસ વિભાગે તાત્કાલિક સંકલન કરીને ડાયવર્ઝન અને ટ્રાફિક જવાનો રાખી સમસ્યાનો હલ કરવો જરૂરી છે અથવા તો થોડા સમય માટે ટ્રાફિક સિગ્નલ જેવી વ્યવસ્થા લાઈન બાય લાઈન વાહનો નીકળી શકે તેવો રસ્તો કાઢવો જોઈએ કારણકે આ પરિસ્થિતિ ઉત્પન્ન થતા લોકોને પરેશાની થાય છે. જો કોઈ પરિસ્થિતિમાં ઈમરજન્સી વાહન જેવા કે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સને પસાર થવાનું થયું હોય તો પરેશાની બને નહીં.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:45 am

સરદાર બાગમાં યોજાયેલી ધમાલગલીમાં મસ્તીનો મહાસાગર ઘૂઘવ્યો‎:મોરબીમાં બાળકોએ મોબાઈલથી દૂર રહી વિસરાતી શેરી રમતોની મનભરીને મજા માણી

સરદાર બાગમાં યોજાયેલી ધમાલગલીમાં મસ્તીનો મહાસાગર ઘૂઘવ્યો ભાસ્કર ન્યૂઝ| મોરબી વર્ષોથી પ્રકૃતિના ખોળે રમાતી શેરી રમતો હવે મોબાઈલની ટેકનોલોજીના કારણે દંતકથા બની જાય એવી પરિસ્થિતિ ઉદભવી છે. આથી મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબના ઉપક્રમે બાળકોને મોબાઈલ ગેમ કરતા શેરી રમતો ચડિયાતી હોવાની અને આ રમતોથી બાળપણ વિકસતું હોવાની સાથે શેરી રમતોનો આનંદ કંઈક ઓર હોવાનું પુરવાર કરાવવા, બાળકોને શેરી રમતો રમવા માટે પ્રોત્સાહન આપવા રવિવારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગમાં ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ અગાઉના સમયમાં શેરીમાં રમાતી લખોટી, થપ્પો, ટાયર ફેરવવા, છાપું અને લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડા ફેરવવા જેવી રમતો રમીને મનભરી મોજ માણી હતી. બાળકોથી માંડી વૃદ્ધો તેમજ મ્યુનિ. કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા તેમજ સંજય સોની સહિતના અધિકારીઓએ પણ બાળકો સાથે જ બાળક બનીને વિવિધ શેરી રમતો રમીને બાળપણમાં રમેલી શેરી રમતોના સંસ્મરણો વાગોળ્યા હતા. આ તકે બાળકોએ મોબાઈલ ગેમ કરતા આ શેરી રમતો રમવા બેહદ ખુશી થયાની લાગણી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:45 am

આપઘાતનો પ્રયાસ:મહુવાના યુવકે તળાજામાં મામાના ઘરે ફિનાઇલ પી લેતા હાલત ગંભીર

મહુવામાં રહેતો એક યુવક કોલેજથી ઘરે જતો હતો જે સમયે બે શખ્સોએ યુવકને ઉભો રાખી, એટ્રોસીટીના કેસની દાઝ રાખી, યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી, જ્ઞાતીથી અપમાનિત કર્યો હતો. જે બાદ ડરી ગયેલો યુવક તળાજા ખાતે તેના મામાના ઘરે જતો રહ્યો હતો અને ત્યાં પણ શખ્સોએ આપેલી ધમકીથી યુવકે તેના મામાના ઘરે ફિનાઇલ પી લેતા એટ્રોસીટી સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મહુવાના નવા ઝાપા તરવાડી વિસ્તારમાં હેતા સત્યમભાઇ હરેશભાઇ ચૌહાણ (ઉ.વ.20) બાઇક લઇ પારેખ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગયા હતા. જ્યાંથી મોટર સાયકલ લઇ ઘરે પરત જતા હતા. મહુવાના કુબેરબાગ પાસે આવેલ જોગર્સ પાર્ક નજીક ઉભેલા મિલન શિયાળ અને રવી પરમાર (રહે. બંન્ને મહુવા)એ સત્યમભાઇને ઉભા રાખ્યા હતા. અને સત્યમભાઇએ અગાઉ મિલન શિયાળ, રવિ પરમાર, અમિત સાંખટ, નિખિલ ભાલિયા અને તુષાર ઢાપા વિરૂદ્ધ મહુવા પોલીસ મથકમાં એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જેની દાઝ રાખી, આ બંન્ને શખ્સોએ જ્ઞાતીથી અપમાનિત કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી પરિવારના સભ્યે યુવકને તળાજા તેના મામા ભરતભાઇના ઘરે મોકલી આપ્યો હતો. ત્યાં યુવકે આ બંન્ને શખ્સોએ આપેલી ધમકીથી ડરી ફિનાઇલ પી લેતા તબિયત લથડી હતી. જેની જાણ ભરતભાઇને થતાં સત્યમભાઇને ગંભીર હાલતે તળાજાની હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સત્યમભાઇએ મિલન શિયાળ અને રવી પરમાર વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:44 am

અબોલ પશુઓનો જીવ બચાવવામાં આવ્યો:સાવરકુંડલાથી ભાવનગર ટ્રકમાં આવતી છ ભેંસોને કતલખાને લઈ જવાતી બચાવાઇ

સાવરકુંડલાથી ભાવનગર આઇશર ટ્રકમાં કતલખાને લઇ જવાથી છ ભેંસો અને એક પાડાને ગૌરક્ષકોએ શેલાણા નજીક ટ્રકનો પીછો કરી, ટ્રકને થોભાવી, ડ્રાઇવરને ઝડપી લીધો હતો. જે બાદ જીવદયા પ્રેમીઓએ ડ્રાઇવર તેમજ ટ્રકને વંડા પોલીસ મથકે લઇ જઇ, ડ્રાઇવર તેમજ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. સાવરકુંડલાથી ભાવનગર છેલ્લા આઠેક દિવસોથી કેટલાક ગૌવંશની કતલખાને લઇ જવા માટે હેરાફેરી થતી હોવાની સાવરકુંડાલના ગૌરક્ષકોને ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે જીવદયાપ્રેમીઓએ વંડા ગામ નજીક ઉભા હતા. જે દરમિયાન એક શંકાસ્પદ આઇશર ટ્રક નં. GJ 04 AW 7593 નંબરનો ટ્રક પસાર થતાં તેમનો પીછો કરાયો હતો અને ટ્રક ડ્રાઇવરે જીવદયાપ્રેમીઓને જોઇ જતાં ટ્રક પુરપાટ ઝડપે ચલાવ્યો હતો અને જે બાદ જીવદયાપ્રેમીઓએ જેમ તેમ કરીને શેલાણા ગામ નજીક ટ્રકને થોભાવી, ટ્રકમાંથી ડ્રાઇવરને ઉતારી ઝડપી લીધો હતો અને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી છ ભેંસો તેમજ 01 પાડો મળી આવ્યા હતા. જે બાદ ડ્રાઇવર અકરમ ઉસ્માનભાઇ ડોડીયા (રહે. સિહોર) વાળાને પકડી વંડા પોલીસને સોંપી આપેલ હતો. જે મામલે પોલીસે ટ્રક ડ્રાઇવર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી, કતલખાને મોકલનાર તેમજ મંગાવનારની પણ ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે. જો કે, ભાવનગર શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાંથી થોડાક દિવસો અગાઉ પોલીસે ગૌવંશની ગેરકાયદેસર કતલ કરી, માંસનું વેચાણ કરતા સાત જેટલા શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે ફરી સાવરકુંડલાથી ભાવનગર ખાતે કતલખાને આવતા ગૌવંશને બચાવી લેવાયા છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:44 am

બજરંગદાસ બાપાનો યોજાશે પુણ્યતિથિ મહોત્સવ:બગદાણામાં બજરંગદાસબાપાનો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

ગોહિલવાડમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ગામે આવેલા અલગારી સંત પૂ. બજરંગદાદબાપાના ગુરૂઆશ્રમ ખાતે પૂ.બાપાના 49 માં પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવવાનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ પુણ્યતિથિ મહોત્સવમાં એક લાખથી પણ વધુ ભાવિકો બાપાના ચરણોમાં આવીને શીશ નમાવીને ધન્યતા પ્રાપ્ત કરશે. આ આયોજન માટેની તૈયારીઓ બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે શરૂ કરવામાં આવી છે.આ મંગળ મહોત્સવ આગામી તા.6.1.26 ને મંગળવારે યોજાનાર છે ત્યારે જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થાઓને પહોંચી વળવા અહીં નિયમિત રૂપે નિસ્વાર્થ ભાવે સેવા બજાવતા બાપાના હજારો ભાઈઓ તેમજ બહેનો, સ્વયંસેવકો સેવા બજાવશે.દર વર્ષેની જેમ જિલ્લાના સરકારી વિભાગોની સાથે સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા સ્વયંસેવકો સાથે આ પ્રસંગ માટે કાર્ય સંકલન કરવામાં આવશે. જેમાં આગોતરી વ્યવસ્થા માટે બેઠક કરાશે.પૂ.બાપાનો દેહવિલય તારીખ 9 જાન્યુઆરી 1977 ના થયો હતો.પછીના વર્ષથી દર વર્ષે બાપાના આશ્રમમાં પુણ્યતિથિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે જે મુજબ આગામી પુણ્યતિથિ મહોત્સવ 49 માં પુણ્યતિથિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે. આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા બેઠક મળીઆ આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા તા.28 ને રવિવારે 350 ગામોના બબ્બે પ્રતિનિધિ લેખે 700 જેટલા સ્વયંસેવકોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આગોતરા આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આગામી દિવસોમાં અલગ અલગ વિભાગોમાં સેવાકાર્ય સોંપવા માટેની કાર્યવાહી થશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:43 am

ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ:સિહોરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બાયપાસ જરૂરી

સિહોર વર્તુળના કેન્દ્રની માફક ભાવનગર જિલ્લાનું કેન્દ્રબિંદુ છે.ગામડાઓમાં જવા માટે વાયા સિહોર થઇને જવું આવશ્યક છે. ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઇ-વે પર આજે લોકો અને વાહનોની ભીડ સિહોર શહેર માટે શિરદર્દ સમાન બની ગઇ છે. સિહોરમાં કેટલીય રિ-રોલિંગ મિલો અને અન્ય ઔદ્યોગિક એકમો આવેલા છે. જિલ્લાની સૌથી મોટી સર્વોત્તમ ડેરી પણ આ શહેરમાં આવેલી છે. આ ઔદ્યોગિક એકમોને કારણે માલનું પરિવહન કરવા અહીં પ્રતિદિન ભારે વાહનો આવન-જાવન કરતાં હોય છે. બીજી તરફ સિહોરમાં હાઇવે પર જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આવેલી છે. આવનારા દિવસોમાં અહીં આજે છે તેનાં કરતાંય વધારે ઘેરી અને ગંભીર ટ્રાફિક સમસ્યા ઊભી થવાની છે. ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા અને પાલિતાણા જેવા કેટલાય શહેરોમાં શહેરની અંદરની ટ્રાફિક સમસ્યા હલ કરવા બાયપાસ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિકથી ભરચક અને વસતીની ગીચતાથી ભરપૂર સિહોરમાં બાયપાસ નથી.ટ્રાફિક સમસ્યા એટલી ભયંકર છે કે મોટર સાઇકલ કયારેક સાઇકલની ગતિએ ચલાવવી પડે. આમ છતાં આ સમસ્યાએ એટલી ગંભીર સમસ્યા ન હોય એમ આ બાબતે કોઇ ઠોસ કદમ ઉઠાવાતા નથી. રાજયભરના કેટલાય શહેરોમાં બાયપાસ રસ્તામાં બનાવવામાં આવ્યા છે.સિહોર તાલુકાના બુઢણા જેવા ગામમાં પણ બાયપાસ રસ્તો બનાવવામાં આવ્યો છે. સિહોરવાસીઓએ હજી કેટલો સમય બાયપાસ માટે રાહ જોવી પડશે ? સિહોરમાં સવારે દસેક વાગ્યાથી સાંજના વાગ્યા સુધી ટ્રાફિક કીડિયારાની માફક ઉભરાયા કરે છે. સિહોરમાં બાયપાસ માર્ગ બને તે માટે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે આ મુદ્દે સંસદમાં પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. સિહોરની આ પેચીદી સમસ્યાનો મુદ્દો છેક દિલ્લી સુધી ગાજે એ જ બતાવે છે કે આ સમસ્યા કેવી અને કેટલી ગંભીર છે. બાયપાસની જરૂર છે, કેન્દ્રિય મંત્રીને પણ રજુઆત કરી છેસિહોરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. આથી નાના-મોટા અકસ્માતો થાય છે. લોકોને અગવડતા પડી રહી છે. આ બાબતે સાંસદ અને કેન્દ્રિય મંત્રી નીમુબેનને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા આ બાબતે વહેલી તકે કોઇ નિરાકરણ લાવવામાં આવે તે જનહિત માટે આવકારદાયક છે. - નિખિલભાઇ દવે,ચૅરમેન,ભાવનગર ડિસ્ટ્રીકટ ચૅમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સિહોર ચૅપ્ટર

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:41 am

સિદ્ધિ:ભાવનગરના મૂક બધિર વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ ચેસમાં મેળવ્યા સાત મેડલ

શાહ ખી. લ. બહેરા મૂંગા શાળા ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ 13 વિદ્યાર્થીઓ આણંદમાં યોજાયેલી રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધા માં. 4 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ કુલ 7 મેડલ સાથે ભવ્યાતિભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. હવે કે. એલ. સંસ્થાના મૂક બધિર વિદ્યાર્થીઓ એથ્લેટિક્સમાં નેશનલ રમશે, વોલીબોલમાં નેશનલ રમશે અને હવે ચેસની રમતમાં પણ નેશનલ રમશે.ગયા વર્ષના ઇન્ટરનેશનલ વિજેતા સ્પર્ધકને કે.એલ સંસ્થાના વિદ્યાર્થીઓએ ત્રીજા નંબર પર ધકેલી દીધો છે . ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ફોર ધ ડેફ દ્વારા આણંદ ખાતે 16મા ઓલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટ ઓફ ધ ડેફનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવનગરની શાહ ખી. લ. બહેરા મુંગ શાળાના કુલ 13 ભાઈઓ બહેનોએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લઈ 4 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મળીને 7 મેડલો મેળવ્યા જેમાં નિર્મળ હિત કનૈયાલાલ ધો-11 ગોલ્ડ, ખત્રી પ્રિન્સ કનૈયાલાલ ધો-5 ગોલ્ડ, વાળા જ્યોતિ નિલેશભાઈ ધો-9 ગોલ્ડ, ડાભી એકતા દિનેશભાઈ ધો-5 ગોલ્ડ,જાડેજા યુવરાજસિંહ ઇન્દ્રજીતસિંહ ધો-11 સિલ્વર, ગૌતમ હાજાભાઇ ડોડીયા ધો-8 બ્રોન્ઝ અને બાંબા આરાધના રાઘવભાઈ ધો-10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ચેસની ટીમ તૈયાર કરાવનાર શિક્ષક હિતેશભાઈ વ્યાસ, સંદીપભાઈ ગોસ્વામી અને હિનાબા ગોહિલ હતા.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:40 am

અદ્ભુત પ્રદર્શન:કૃષ્ણ...એક નાટ્ય કથા' શિર્ષક તળે અદભૂત નાટ્ય પ્રસ્તુતિ યોજાઈ

સેન્ટર ફોર એક્સેલન્સ અને માઈક્રોસાઈનના ઉપક્રમે કૃષ્ણના જીવનની લીલાઓને ઉજાગર કરતી એક અદભૂત નાટ્ય પ્રસ્તુતિ કૃષ્ણ...એક નાટ્ય કથા...નું આયોજન તા. 27/12ને શનિવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ હતી. આ નાટિકામાં પદ્મ વિભૂષણ ડો.સોનલ માનસિંહ દ્વારા પ્રસ્તુત આ અનોખી અને અદ્રિતીય નાટ્યકથામાં ભક્તિ, નાટ્ય, સંગીત અને અદભુત વાર્તા કથન શૈલીના સમન્વયથી ઉપસ્થિત દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. કુમારી બ્રિજેશ્વરી કુમારી, પદ્મશ્રી સુધા ચંદ્રન, કલેક્ટર મનીષ બંસલ અને ગુરુમા ઝવેરબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં આયોજક નિશીથભાઈ મહેતાએ બધાને આવકાર્યા હતા. આ પ્રસંગે સુધા ચંદ્રનજી, ડો.સોનલબેન અને કલેક્ટર મનીષભાઈ બંસલ દ્વારા આ આયોજનને બિરદાવતા પ્રેરક અને પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. કાર્યક્રમનું સુભગ સંચાલન જાણીતા એન્કર નેહલબેન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:39 am

425 કિલોમીટરની સ્કેટિંગ યાત્રા:લાયન ક્લબના 21 બાળકો 4 દિવસ સુધી સ્કેટિંગ કરીને દ્વારકા પહોંચ્યા

ભાવનગર : ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબના 21 બાળકોએ 425 કિલોમીટરનું અંતર સ્કેટિંગ કરીને ભાવનગરથી દ્વારકા સુધીની યાત્રા પૂર્ણ કરી છે. આ સિદ્ધિ બદલ તેમના નામ 'ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ' અને 'વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ એક્સેલન્સ'માં નોંધવામાં આવશે. 6થી 15 વર્ષની વયના આ બાળકોની યાત્રા 25 ડિસેમ્બર, 2025ના રોજ ભાવનગરના નીલમબાગથી શરૂ થઈ હતી. ચાર દિવસની સતત મહેનત બાદ 28 ડિસેમ્બરની બપોરે તેઓ ભગવાન દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા. આ જૂથમાં 20 છોકરા અને 1 છોકરીનો સમાવેશ થાય છે. આ યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર સ્થાનિકો દ્વારા બાળકોનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રયાસ માત્ર શ્રદ્ધાનો જ નહીં, પરંતુ વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરવાનો પણ છે. આ બાળકોનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને મોબાઈલ અને વ્યસનથી દૂર રાખીને રમતગમત સાથે જોડવાનો છે. આ સંદેશ સાથે જ તેમણે આ સ્કેટિંગ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી. આમ ભાવનગર શહેરના લાયન સ્કેટિંગ ક્લબના 21 બાળકો ચાર દિવસ સુધી સ્કેટિંગ કરીને દ્વારકા ખાતે પહોંચીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને આશિર્વાદ લીધા હતા તેમની આ સિદ્ધિએ ભાવનગર શહેરનું, લાયન સ્કેટિંગ ક્લબ અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે અને સાથોસાથ ભારત દેશનું નામ વિશ્વ સ્તરે ઉજાગર કર્યું છે. સાથો સાથ આ યાત્રામાં મોબાઈલ, વ્યસ્નોથી દૂર રહેવાનો સંદેશો પાઠવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:38 am

ભાસ્કર એક્સપર્ટ:ઇ-વે બિલની એક ભૂલ અને GST કરદાતા મુશ્કેલીમાં!

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કરદાતાઓને ઇ-વે બિલમાં ભૂલો અને અનિયમિતતાઓ, ખાસ કરીને માલના ડેસ્ટિનેશન સાથે સંબંધિત ભૂલો મુશ્કેલીમાં મૂકી રહી છે, અધિકારીઓના મતે, જો ડેસ્ટિનેશન સ્પષ્ટ રીતે ઉલ્લેખિત ન હોય, મેળ ખાતું ન હોય અથવા તેમાં ચેડાં ન હોય, તો તે માલની અટકાયત, દંડ અને લાંબા સમય સુધી પાલનની મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. નોંધાયેલી સૌથી સામાન્ય અનિયમિતતાઓમાં ખોટા પિન કોડ અથવા રાજ્યના નામ સહિત ગંતવ્ય સ્થાનનો ઉલ્લેખ ન કરવો અથવા ખોટો ઉલ્લેખ કરવો છે. ઘણા કિસ્સાઓમાં, ઇ-વે બિલમાં દર્શાવેલ ડેસ્ટિનેશન ટેક્સ ઇન્વોઇસમાં ઉલ્લેખિત ડિલિવરી સરનામા સાથે મેળ ખાતું નથી. કર અધિકારીઓ કહે છે કે આવી વિસંગતતાઓ ઘણીવાર કરચોરી અથવા માલના ડાયવર્ઝનની શંકા ઉભી કરે છે. બીજો વારંવારનો મુદ્દો ઇ-વે બિલમાં ચેડાં અથવા પોસ્ટ-જનરેશન ફેરફાર છે, જ્યારે માલસામાનને માન્ય કારણ વિના સંપૂર્ણપણે અલગ રૂટ દ્વારા પરિવહન કરવામાં આવે છે ત્યારે બિલ એક જ રૂટ માટે જનરેટ કરાયા છે. મૂલ્ય-સંબંધિત વિસંગતતાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આમાં માલના મૂલ્યનું ઓછું રિપોર્ટિંગ, ખોટા HSN કોડ્સ, અથવા ઇન્વોઇસ મૂલ્ય અને ઇ-વે બિલમાં જાહેર કરાયેલ મૂલ્ય વચ્ચે મેળ ખાતો નથી. ભૂલ સમસ્યા નોતરી શકેકરદાતાઓ ઇ-વે બિલ જનરેટ કરતી વખતે યોગ્ય કાળજી રાખે અને ખાતરી કરે કે બધી વિગતો, ખાસ કરીને ગંતવ્ય સ્થાન, ઇન્વોઇસ સાથે સચોટ અને સુસંગત છે. નાની ભૂલો પણ મોટી પાલન સમસ્યાઓ તરફ દોરી શકે છે, ડિજિટલ ટ્રેકિંગમાં વધારો થવાથી આવી અનિયમિતતાઓ શોધવાનું સરળ બન્યું છે. - સુનય જરીવાલા, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:37 am

વેધર રિપોર્ટ:રાતે 5 દિવસથી સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી વધુ તાપમાન

ભાવનગર શહેરમાં આ વર્ષે ઉત્તર દિશાના ટાઢાબોળ પવનની દિશા ન હોય છેલ્લાં 5 દિવસથી રતનું ઉષ્ણતામાન સામાન્યથી 2થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ છે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા શહેરમાં સામાન્ય કરતા રાતનું ઉષ્ણતામાન 2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. જ્યારે બપોરે તાપમાન 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ. આ વર્ષે ભાવનગર શહેરમાં ડિસેમ્બરમાં એક પણ વખત કોલ્ડ વેવ આવ્યો નથી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 89 ટકા હતુ તે સાંજે ઘટીને 51 ટકા થઇ ગયુ હતુ. જો કે હજી ભેજ સાવ ઓછો ન થતો હોય કોલ્ડ વેવ જામતો નથી. શહેરમાં સવારે અને સાંજે પવનની ઝડપ 6 કિલોમીટર નોંધાઇ હતી. રાત્રે સામાન્યથી વધુ તાપમાન

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:35 am

ભાસ્કર એનાલિસિસ:ભાવનગરમાંથી 1,24,850 મતદારોનું કાયમી સ્થળાંતર

મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી અંતર્ગત કુલ 18,66,937 મતદારો પૈકી 16,37,981 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે. આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે. BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં. જેમાં, અવસાન પામેલા મતદારો 66,086, કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો 1,24,850, અનટ્રેસેબલ મતદારો 22,004, ઓલરેડી ઇનરોલ્ડ મતદારો 14,262, અન્ય 1754 મતદારો હતા. હવે આગામી તા.3 અને 4 જાન્યુઆરી એટલે કે શનિવાર અને રવિવારના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી પોતે જે મતદાન મથકે મતદાર કરતા હોય ત્યાં જ બીએલઓ સમક્ષ પોતાના ઓળખ અંગેના પુરાવા રજૂ કરી શકશે. તા.18મી જાન્યુઆરી, 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. બાદમાં સુધારા સાથે યાદી જાહેર કરાશે. હવે અભિયાનમાં નામ વિગત ફોટો ચકાસણી તેમજ જરૂર જણાય તો ફેરફાર માટે અરજી કરી શકાશે સાથે પહેલી જાન્યુઆરી 2026 ના રોજ 18 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો મતદારી યાદીમાં નામ નોંધણી કરાવી શકાશે. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. બાદમાં સુધારા સાથે યાદી જાહેર કરાશે. આ રીતે મતદાર યાદી સુધારણા માટે આગામી તા.3 અને 4 જાન્યુઆરીએ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નામ ઉમેરવા માટે ક્યા ફોર્મ જરૂરીનવા મતદાર માટે ફોર્મ નંબર 6 : વિદેશમાં વસતા ભારતીય મતદાર દ્વારા યાદીમાં સમાવેશ માટે ફોર્મ નંબર 6 એ . મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર લિંક કરાવવા ફોર્મ નંબર 6 બી મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ નંબર 7 મતદારયાદીમાં સરનામું કે વિગતો બદલાવવા માટે ફોર્મ નંબર 8 દાવા નામંજૂર થાય તો અપીલ ક્યાં કરશો ?વાંધા-દાવા મંજૂર થયા છે કે નહી તેની જાણ બીએલઓથી થશે. વાંધા અને દાવા નામંજૂર થયા બાદ પ્રથમ અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી સામે, બીજી અપીલ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર સામે કરી શકાશે. જેઓના નામ ડ્રાફ્ટ યાદીમાં છે પરંતુ તેઓ કે સંબંધીઓનું નામ 2002ની યાદીમાં ન હતું તેથી નોટિસ અપાઈ હશે. નોટિસ મતદારોને પોસ્ટ મારફતે નોંધાયેલા સરનામા પર મોકલાશે, તેમાં દર્શાવેલ સ્થળ પર જઈને પુરાવો રજૂ કરવાનો રહેશે. પુરાવા રજૂ કર્યા બાદ તપાસ કરાશે એ પછી નામ જોડવા અંગે નિર્ણય લેવાશે. ઓનલાઇન સેવા માટે આ મોબાઇલ એપ સક્રિયઓનલાઇન સેવા માટે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ પણ સક્રિય કરવામાં આવી છે આ માટે www.voters.eci.gov.in અથવા www.nvsp.in પર સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત રૂબરૂ કલેકટર કચેરી પ્રાંત કચેરી જિલ્લા મામલતદાર કચેરી ખાતે પણ સંપર્ક કરી શકાશે આ ઉપરાંત વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 1950 ઉપર સંપર્ક કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:34 am

સિટી એન્કર:તા.2 જાન્યુઆરીથી 3 દિવસ ઉલ્કાવર્ષાનો નજારો

નવા વર્ષ 2026ના પ્રારંભે તા. 2 જાન્યુઆરી, 3 જાન્યુઆરી અને 4 જાન્યુઆરી, ત્રણ દિવસ, દુનિયાભરમાં ખગોળરસિકોને આકાશમાં ક્વોડરેન્ટીડસ ઉલ્કા વર્ષાનો અદભુત નજારો જોવા મળશે. ખગોળીરસીકો આ ઉલ્કાવર્ષા તા.12મી જાન્યુઆરી સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કાવર્ષા જોઈ શકવાના છે. પ્રતિ કલાકના 110 ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષા મહત્તમ ત્રણ દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે અને ખાસ તો ખુલ્લી અને નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વર્ષા જોવા મળે છે. જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે, ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. આ ઉલ્કા તેની તેજસ્વીતા, રંગબેરંગી અગનગોળા માટે જાણીતી છે. જાથાએ આ માટે એક દિવસ ખાસ આયોજનો ગોઠવ્યા છે. જાન્યુઆરીમાં બે ઉલ્કાવર્ષામાં માઈનોરિડસ પણ જોવા મળશે. દેશભરમાં જાથા લોકોને ખગોળીય માહિતી આપી ધ્યાનાકર્ષણ કરે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતે તેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જિત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. નાના-મોટા નગરોમાં એક દિવસીય વ્યવસ્થા છે. વિશેષ માહિતી મો.નં.9825216689 અથવા 9426980955 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે. દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડોદરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જિત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના 30 કિ.મી. જેટલાનો અનુમાન રખાય છે. પૃથ્વી પર ઉલ્કાની રાખનો એક ઇંચથી વધુનો થરઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:32 am

ભાસ્કર એક્સક્લુસિવ:રાત્રે મોટો વહીવટ થયો, સવારે ઇડી ત્રાટકતાં જંગી રકમ હાથ લાગી‎

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના રહેણાક મકાન સહિત એક સાથે 5થી વધુ જગ્યાએ ઇડીની ટીમે દરોડા પાડતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરીને દિલ્હી લઇ જવામાં આવ્યા છે. ત્યારે એવી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે કે જમીન એનએના મોટા વહીવટના પૈસા રાત્રે જ આવ્યા હતા. તેની ભાગ બટાઇ થાય તે પહેલા જ ઇડીની ટીમ ત્રાટકી હતી. રૂ.67.50 લાખ રોકડા સાથે નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક કલેક્ટરના પીએ જયરાજસિંહ અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે સુરેન્દ્રનગર એસીબીમાં ઇડીએ કેસ દાખલ કર્યો છે જેની તપાસનો ધમધમાટ તો ચાલી રહ્યો છે. બીજી બાજુ 7 દિવસના રિમાન્ડ મંજૂર થતા ઇડિ ચંદ્રસિંહ મોરીને લઇને દિલ્હી ગઇ છે. આગામી તા.1ના રોજ તેમના રિમાન્ડ પૂર્ણ થશે ત્યારે અમદાવાદ કોર્ટમાં હાજર કરશે. કલેક્ટર કચેરીનો રેવન્યુ વિભાગ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોવાની વાત છેક દિલ્હી સુધી પહોંચી હતી. કારણ કે ફાઇલો એનએ કરવાના ભાવ બમણા કરી દેવામાં આવ્યા હોવાથી ખાસ કરીને મોટા માથા મુશ્કેલીમાં મૂકાયા હતા. પૈસાનો બધો વહીવટ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી રાખતા હતા. આગલા દિવસે જ વહીવટની મોટી રકમ તેમની પાસે આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે જાણ ભેદુ વ્યક્તિ જાણતી હતી. પૈસા સગેવગે થાય તે પહેલા મામલો દિલ્હી ઇડી સામે પહોંચાડવામાં આવ્યો હતો. આથી જ ઇડીએ પૈસાનો ભાગ પડે તે પહેલા જ વહેલી સવારે ચંદ્રસિંહ અને કલેક્ટર સહિતના ઘરે દરોડા કર્યા હોવાનું કહેવામાં આવે છે. ચંદ્રસિંહે ઇડીને આપેલી વિગતો હજુ સુધી બહાર આવી નથી. તેમાં ખાસ કરીને કલેક્ટર અને બાકીના વચેટીયાઓને કેટલા રૂપીયા મળતા હતા તેની વિગતો પણ બહાર આવશે. બીજી બાજુ હજુ સીબીઆઇની તપાસની લટકતી તલવાર તો ઉભી જ છે. મોટા ઉદ્યોગપતિ પાસે જમીનની અડધી કિંમત માંગવામાં આવતાં મામલો પીએમઓ પહોંચ્યો એવું કહેવામાં આવે છે કે જિલ્લાના એક મોટા ઉદ્યોગપતિની પણ ફાઇલ કલેક્ટર કચેરીમાં પડી હતી. તેઓ વહીવટ આપવા માટે પણ તૈયાર હતા. પરંતુ કલેક્ટર કચેરીમાંથી મોટુ મોઢુ ફાડવામાં આવ્યું હતું. જમીનની અડધી કિંમત માંગવામાં આવી હોવાની વિગતો બહાર આવી રહી છે. આથી નારાજ થઇને ઉદ્યોગપતિએ ખાયકીનો મામલો દિલ્હી પહોંચાડયો હોવાનું કહેવામાં આવે છે. જેમને સમન્સ મળ્યા છે તેમને આધાર પુરાવા સાથે જવાબ રજૂ કરવા પડશેઆ કેસમાં અત્યાર સુધી ઇડીએ નાયબ મામલત્તદારની જ ઓફિસીયલી ધરપકડ કરી છે. જે લોકોને સમન્સ આપવામાં આવ્યા છે તેમને આધાર પુરાવા સાથે ઇડીમાં જવાબ લખાવવાનો રહેશે. એસીબીમાં જે ફરિયાદ થઇ છે તેમાં અધિકારી તપાસ કરશે. પૈસા કોના હતા,કોની સહિઓ હતી કોનો શું રોલ હતો તે બાબતે તપાસ કરીને દસ્તાવેજી પુરાવા એકત્ર કરશે. જેમાં દોષી જણાય તેની સામે કાર્યવાહી થઇ શકે છે. > એમ.પી.સભાણી, સરકારી વકીલ

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:27 am

આગ લાગી:પાલનપુરમાં નક્ષત્ર સોલેટરમાં આગ, હોટેલમાંથી દંપતી-કર્મીને રેસ્ક્યુ કરાયા

પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી સોફાની દુકાનમાં રવિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. એક કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. દુકાનોની ઉપર આવેલી બે હોટલમાં રોકાયેલા દંપત્તિ અને કર્મચારી સહિત પાંચ જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સલામત નીચે ઉતારી લીધા હતા. ગાદલા અને ખુરશી તેમજ ફોર્મ સહિતના જુલનશીલ સામાન ના કારણે આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફોર પર લાગેલી આગ દુકાનની બહાર લગાવેલા બેનરોના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. આગના આ બનાવવામાં સોફા ખુરશી, ફોમ, બ્યુટી પાર્લર સહિતની દુકાનોને નુકસાન થયું હતું. સદ્નસીબે આગના બનાવવામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. આગ પર કાબૂ મેળવવા ફાયરે હજારો લીટર પાણીનો મારો ચલાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:27 am

વિધવાની છેડતી કરાઈ:સોસાયટીના ઉપપ્રમુખ સહિત 3 લોકોએ વિધવાની છેડતી કરી

‘પતિ કી જરૂર હો તો મેરે કો બોલ મે આ જાતા હું’, એમ કહી વિધવાને તેની જ સોસાયટીમાં રહેતા પડોશીએ ફોન કર્યો હતો. આથી મહિલાએ તેનો નંબર બ્લેક લીસ્ટમાં નાખી દીધો હતો. બીજા દિવસે મહિલા સવારે ઘરેથી નોકરીએ જવા નીકળી ત્યારે સોસાયટીના ઉપપ્રમુખ અને અન્ય એક સભ્યે તેને કહ્યું કે ‘કહા જા રહી હો, તેરે કો નોકરી કરને કી ક્યા જરૂરત હે હમ બેઠે હૈ ના’, આવું કહ્યું હતું. તેમ છતાં મહિલાએ કાંઈપણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ હતી. સાંજે પાછી ઘરે આવી ત્યારે ત્રણેય પડોશીએ તેને કહ્યું કે ‘ મેડમ પતિ કી જરૂર હો તો હમકો બોલના હમ બેઠે હૈ’, એમ કહી બિભત્સ ઈશારા કર્યા હતા. એટલું જ નહીં પડોશીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વારંવારની છેડતીથી કંટાળીને વિધવાએ ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી ત્રણેય પડોશીની ધરપકડ કરી છે. પકડાયેલામાં ત્રણ પૈકી એક સોસાયટીનો ઉપપ્રમુખ છે. વળી ત્રણેય પાછા પરિણીત છે. 28 વર્ષનો આરોપી જમીન લે-વેચ છે. જ્યારે અન્ય 38 અને 33 વર્ષનો શખ્સ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. 37 વર્ષીય વિધવા મેનેજર તરીકે નોકરી કરે છે અને એક સંતાન સાથે રહે છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:27 am

ભાસ્કર ઈનસાઈડ:જિલ્લા ભાજપ પ્રમુખને પ્રદેશ મહામંત્રીની જવાબદારી, હવે નવા પ્રમુખની શોધ

પ્રદેશ ભાજપના સંગઠનમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રદેશમાં મહામંત્રીની અને ધ્રાંગધ્રા તાલુકાના ગૌતમભાઇ ગેડીયાની પ્રદેશમાં ઉપ પ્રમુખ તરીકે નિમણુંક આપવામાં આવી છે. ત્યારે ભાજપના નવા સંગઠનની રચના થતાની સાથે જ ભાજપના આગેવાનો હોદ્દાની લાઇનમાં ઉભા રહી ગયા છે. પોતાના રાજકીય આકાના ઘરના પગથીયા ઘસતા થઇ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સત્તાની રીતે તો મજબુત જ છે. કારણ કે તમામ 5 વિધાનસભા, સાંસદ, જિલ્લા પંચાયતની સાથે તમામ 10 તાલુકા પંચાયતમાં ભાજપની જ સત્તા છે. આમ સત્તાની બાબતમાં તો નવા પ્રમુખ માટે જ્ઞાતિ નહીં અનુભવ, કર્મઠતા મહત્વની રહેશે નવા પ્રમુખ માટે જ્ઞાતિ નહીં‎અનુભવ, કર્મઠતા મહત્વની રહેશે‎સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે ભાજપમાં ખાસ કરીને પટેલ, ક્ષત્રીયા, કોળી અને અનુ.જાતીના ધારાસભ્યો છે. સાંસદ તળપદા કોળીના છે. આમ ભાજપે જ્ઞાતીનું સમીકરણ તો બરોબર સાચવવાનો પ્રયાસ કર્યો છે. હવે નવા પ્રમુખ યુવાન પરંતુ પાર્ટીની વિચારધારા અને સંગઠનની કામગીરીથી માહિતગાર હોય તેમની પસંદગી કરવામાં આવશે. કર્મઠ અને પક્ષની કાર્ય પધ્ધતિથી 15થી 20 વર્ષથી વાકેફ હોય તેવા પ્રમુખની વરણી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:24 am

ભાસ્કર એક્સક્લુસિવ:આવક 10 લાખ અને પ્રોપર્ટી ખરીદી 50 લાખની, ITએ મેસેજમાં કહ્યું ‘ જોઇ લેજો’

આવકવેરા વિભાગે બે પ્રકારના કેસોમાં કરદાતાઓ પર વોચ ગોઠવી છે. એક તો એવા કરદાતાઓ કે જેઓ આવક કરતા ખર્ચા વધુ કરી રહ્યા છે અને જે કરદાતાઓએ વિદેશમાં મિલકતો ખરીદી હોય, બેન્ક અકાઉન્ટ હોય કે શેર લીધા હોય અને રિટર્નમાં બતાવ્યું ન હોય તેઓને નોટિસ અને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. રાજ્યભર અને સુરતમાં એવા અનેક કરદાતાઓ છે જેઓએ વિદેશમાં અને ખાસ કરીને દુબઇમાં સંપત્તિ ખરીદી છે, પરંતુ રિટર્નમાં બતાવી નથી અથવા તો એવા કરદાતાઓ છે જેઓ વિદેશમાં રહેતા હોવા છતાં રેસિડેન્સ તરીકેનું રિટર્ન ફાઇલ કર્યું છે. આ ઉપરાંત રિટર્ન ફાઇલ કરવામાં થયેલી ભૂલોનો હવાલો આપીને આઇટીએ અનેકના રિફંડ પણ અટકાવ્યા છે. લોકોને મેસેજ અને ઇ-મેઇલ મારફત જાણ કરવામાં આવી રહી છે. સી.એ. તિનિશ મોદી કહે છે કે હાઇ ટ્રાન્ઝેકશનના કેસમાં તો હાલ વિભાગ મેસેજ મોકલીને કહી રહ્યા છે કે આ સોદો જે થયો છે તે જોઈ લો. એટલે એક રીતે કરદાતાને એલર્ટ કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ યોગ્ય રિટર્ન ફાઇલ કરી શકે. ‘રિવાઇઝ રિટર્ન ભરવું નહીં તો ફેમા પણ લાગી શકે’ઘણીવાર કરદાતા ભૂલમાં પણ વિદેશમા ખરીદેલી મિલકતોના ખુલાસા રિટર્નમાં કરતા નથી, ઘણા જાણીને નથી કરતા. આ સ્થિતિમાં પેનલ્ટી લાગી શકે છે આથી જરૂરી છે કે તેઓ રિવાઇઝ રિટર્ન ભરે નહીં તો કેટલાક કેસમાં ફેમા પણ લાગી શકે છે. હાઇ ટ્રાન્ઝેકશનના કેસમાં પણ જે મેસેજ આવી રહ્યા છે તેમાં પણ કરદાતાઓએ વિગતો છુપાવવી ન જોઈએ. > પ્રજ્ઞેશ જગાશેઠ, સી.એ. કેસ નંબર-1 : ઘોડદોડ રોડ ખાતે રહેતી એક વિદ્યાર્થિની વિદેશ ગયા બાદ ત્યાંથી રિટર્ન ફાઇલ કર્યું હતું અને તેમાં ભૂલના લીધે તેને નોટિસ ફાળવવામાં આવી હતી અને રિફંડ અટકાવાયાનો મેસેજ મોકલવામા આવ્યો હતો. વિદ્યાર્થીએ ફોરેનમાં મેળવેલી આવકનો હિસાબ તેમાં અપાયો ન હતો. કેસ નંબર-2:કતારગામ ખાતે રહેતા વેપારીએ જીએસટીમાં કરોડોનું રિફંડ લીધા બાદ આવકવેરા વિભાગે નોટિસ ફટકારી હતી, વેપારીઓના આઇટી રિટર્ન સાથે ડેટા મેચ નહી થતાં નોટિસ ઇશ્યુ કરાઈ હતી. ઉપરાંત વેપારીએ ખરીદી પણ બતાવી નહતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:22 am

વિરાટ ભકિત સત્સંગ સંપન્ન:સંસારમાં દરેક વ્યકિત સહારો ઇચ્છે છે પણ, સાચો સહારો પરમાત્માનો જ છે : સુધાંશુજી

રામલીલા મેદાનમાં યજ્ઞ અને સત્સંગના માધ્યમથી શ્રદ્ધાળુઓને ભક્તિ, સંસ્કાર અને આત્મ પરિવર્તનની પ્રેરણા સુરત. વિશ્વ જાગૃતિ મિશન દ્વારા સંચાલિત બાલાશ્રમ (અનાથાશ્રમ)ના સહાયતાર્થ રામલીલા મેદાનમાં યોજાયેલ વિરાટ ભક્તિ સત્સંગનો સમાપન રવિવારે ચોથા અને અંતિમ દિવસે શ્રદ્ધા, ભક્તિ અને રાષ્ટ્ર ભાવનાના સાથે થયું હતું. આ અવસરે રાષ્ટ્ર સંત સુધાંશુ મહારાજે ભક્તો સાથે યજ્ઞમાં સહભાગી થઈને રાષ્ટ્રના સર્વાંગીન વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે આહુતિઓ અર્પિત કરી. સત્સંગને સંબોધિત કરતાં સુધાંશુ મહારાજે ગુરુદેવની શરણથી લઈને પરમાત્માના મિલન સુધીના પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે આ સંસારમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સહારાની તલાશમાં છે, જ્યારે સાચો સહારો માત્ર પરમાત્મા જ છે. સંસારની સમસ્ત વ્યવસ્થાઓ એ જ પરમ સત્તાના આધાર પર ટકેલી છે. તેમણે કહ્યું કે જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થાય છે, તે પરમાત્માની કૃપાથી મળે છે. જ્યારે સંસારના તમામ સંબંધો-નાતો તૂટી જાય છે, ત્યારે માત્ર પ્રભુનો જ સહારો રહે છે. મહારાજે કહ્યું કે બાળકોમાં સંસ્કારોનો બીજારોપણ જ સાચી સંપત્તિ છે. સાચો પ્રેમ એ નથી જે બાળકોને નબળા બનાવે, બલ્કે તે છે જે તેમને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાનું સાહસ આપે.તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ ચમકતો દીવો છે . જ્યારે વ્યક્તિ અંતરથી બદલાય છે, ત્યારે જ સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન શક્ય છે. જીવનને વ્યક્તિ નહીં પણ, તેની આદતો સંચાલિત કરે છેસંત સુધાંશુ મહારાજે જીવનમાં આદતોની ભૂમિકા પર પ્રકાશ પાડતાં કહ્યું કે જીવનને વ્યક્તિ નહીં, બલ્કે તેની આદતો સંચાલિત કરે છે. જેવો અંતઃકરણ બને છે, તેવો જ વ્યક્તિનો સ્વરૂપ બને છે. જૂની ખોટી આદતોને બદલવા માટે નવી સકારાત્મક આદતો અપનાવવી જોઈએ, ત્યાગ યોગ્ય આદતોથી વૈરાગ્ય રાખવું જોઈએ.તેમણે કહ્યું કે જે વ્યક્તિ જીવનને સાચી રીતે “ડિઝાઈન” કરવાનું શીખી જાય તે કીર્તિમાન સ્થાપિત કરે છે. સ્વાર્થ પૂર્તિ માટે લોકો અનુચિત આચરણથી પણ પાછા નથી હટતા.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:20 am

પાણી માટે રઝળપાટ:ફાલસાવાડીની લાઈન તૂટતાં ત્રીજા દિવસે પણ પાણી બંધ

ફાલસાવાડીની જૂની પાણીની લાઇન સીટકોની બેદરકારીએ તૂટી જતાં યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી કરાઇ હતી, જો કે, ત્રીજા દિવસે પણ સેન્ટ્રલ ઝોન, ઉધના, વરાછા, અઠવાના કેટલાક વિસ્તારોમાં પાણી સપ્લાઇ મળ્યો ન હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યારે સપ્લાઇ મળ્યો ત્યાં પાણીનું પ્રેશર ઓછું હોય મીઠા પાણીના ટેન્કરો દ્વારા ઝોનના પાણી ખાતાએ સપ્લાઇ કરવો પડ્યો હતો. ફાલસાવાડી પોલીસ સ્ટેશન પાસે મહાપાલિકાની પાણી ની મુખ્ય લાઇનમાં સીટકો ની બ્રીજ માટે પાઇલ ખોદવાની કામગીરીમાં બેદરકારીએ જુની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. ગત શુક્રવારે સવારે લાઇન તૂટી હતી તેથી મહાપાલિકાનું હાઇડ્રોલિક ખાતા અને સીટકોની ટીમે રિપેરિંગ કામગીરી હાથ ધરતાં શનિવાર મોડી સાંજ સુધી 30 કલાક ચાલી હતી. જૂની લાઇન હોય ખોલાતાં વધુ ડેમેજ થઈ હતી, જેમાં લાખો લિટર પાણી ફાલસાવાડી રિંગ રોડથી સહારા દરવાજા પર રસ્તા પર વહી ગયું હતું. અધુરામાં પૂરું ટ્રાફિક જામ સર્જાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:18 am

પાવરગ્રીડ મુદ્દે ઓલપાડના ખેડૂતોમાંં ભારે રોષ:‘કાયદાનું ખોટું અર્થઘટન કરીને પોલીસ વિભાગનો દૂરુપયોગ’

ઓલપાડના 12 ગામોમાંથી પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઈન નિકળવાની છે. જેને લઈને કલેક્ટરે અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ આપવાની શરૂઆત કરી છે. ગોલા, મોરથાણ, એરથાણ, વિહારા, કણભી, કાછબ, પારડી ભાદોલી, સીમલથુ, મુળદ, બોલાવ, કીમામલી, કઠોદરા મળીને તાલુકાના 12 ગામોના ખેડૂતોને માર્ગદર્શન આપવા ખેડૂત સમાજે મૂળદ ગામ ખાતે બેઠકનું આયોજન કર્યું હતું. આ મીટિંગમાં હાજર અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું કે, ‘પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ ખેડૂતોની સંમતિ વિના બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે અને ઈન્ડિયન ટેલિગ્રાફ એકટ-1885નું ખોટું અર્થઘટન કરીને રદ થયેલા કાયદાનો દૂર ઉપયોગ કરી પોલીસ તંત્રનો દૂર ઉપયોગ કરી કામગીરી કરવા માંગે છે, જેથી ખેડૂતોમાં ભારે રોષ છે. આગામી દિવસોમાં અસરગ્રસ્ત ખેડૂતો કલેક્ટરની નોટિસનો ટ્રેકટર રેલી કાઢીને જવાબ રજૂ કરશે. તેમ છતાં આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:17 am

વેધર રિપોર્ટ:બે દિવસમાં ઠંડી વધશે, પારો 3 ડિગ્રી ગગડીને 16 થઈ શકે

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવે હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. પવનની દિશા બદલાઈને ઉત્તર દિશાની થતાં બર્ફિલા પવનની ગતિ વધતાં શહેરમાં લઘુતમ તાપમાન ફરી એકવાર 16 ડિગ્રી આસપાસ પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો સામાન્ય વધારો અને લઘુતમ તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. ઉત્તર દિશાથી 4 કિ.મીની ગતિએ પવન ફૂંકાયા હતા. હવામાન નિષ્ણાતોના મતે, હાલમાં ભલે લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો હોય, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં અને ઉત્તરિય બર્ફિલા પવન સક્રિય થતાં આગામી 48 કલાકમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે, જ્યારે બપોરના સમયે આકરો તડકો રહેતા ડબલ સિઝન જેવી સ્થિતિ જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:16 am

ભાસ્કર એક્સક્લુસિવ:રિંગ રોડ પર 52 દિવસે પણ પીળાપટ્ટા નહીં લાગ્યા, 43 સ્થળે રોડ પર પાર્કિંગ

રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાના નિર્ણયોના અમલમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. 7 નવેમ્બરે પાલિકાના અધિકારીઓ અને ફોસ્ટાના ઉદ્યોગકારોએ સ્થળ નિરિક્ષણ કર્યું હતું, જેમાં નક્કી કરાયું હતું કે ફ્લાયઓવર નીચે જ્યાં કોન્ટ્રાક્ટરને અધિકૃત પાર્કિંગ ફાળવાયાં છે તે તમામ વિસ્તારોમાં પીળા પટ્ટા કરાશે, જેથી ગેરકાયદે પાર્કિંગ અટકાવી શકાય. જો કે, આ વાતને 52 દિવસે પણ એક પણ જગ્યાએ પીળા પટ્ટા મરાયા નથી. પરિણામે ફ્લાય ઓવર નીચેના વિસ્તારમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરો બેફામ બની ગયા છે. અધિકૃત પાર્કિંગની સીમા નક્કી ન હોવાથી રોડ પર પણ ગેરકાયદે વાહનો પાર્ક કરાવીને લોકો પાસેથી બિનઅધિકૃત રીતે ઉઘરાણી કરવામાં આવી રહી છે. રિંગરોડ પર દિવસભર ટ્રક, ટેમ્પો, ઓટો અને ખાનગી વાહનોની ભારે અવરજવર રહે છે. તેવામાં રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરાવવાથી ટ્રાફિકની સ્થિતિ વધુ વણસે છે. વેપારીઓનું કહેવું છે કે માલ ભરવા-ઉતારવા માટે આવતા વાહનોને લાંબા સમય સુધી અટકવું પડે છે, જેના કારણે કામકાજમાં વિલંબ થાય છે. બીજી તરફ સામાન્ય વાહન ચાલકોને પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. 64 પીલરના 43 સ્લોટમાં એક સ્થળે પણ પટ્ટા નહીંરિંગ રોડ પર કમેલા દરવાજાથી સહારા દરવાજા સુધી બ્રિજ નીચેના કુલ 64 પીલર બ્લોક પૈકી 21 બ્લોક ચાર્જિંગ સ્ટેશન, સાઇકલ સ્ટેન્ડ, પોલીસ ચોકી અને યુ-ટર્ન સહિતની સુવિધા માટે છોડી દેવાયા છે જ્યારે 43 બ્લોકમાં પાર્કિંગ સ્લોટને ફાળવવામાં આવ્યાં છે. આ તમામ પાર્કિંગ સ્લોટના માપ પ્રમાણે માર્કિંગ કરી દેવા આદેશ છતાં એક પણ બ્લોક હોલ્ડરે પટ્ટા દોરવા તસ્દી લીધી નથી પરિણામે રિંગરોડ પર ટ્રાફિકજામના ચક્રવ્યૂહમાં ફસાયો છે. અધિકારીઓની ઢીલી નીતિને લઈ વિલંબ: વેપારીઓટેક્સટાઈલ વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે ‘પાલિકાના અધિકારીઓની ઢીલી નીતિ અને અમલમાં વિલંબના કારણે પાર્કિંગ કોન્ટ્રાક્ટરોને ખુલ્લી છૂટ મળી ગઈ છે. પીળા પટ્ટા ન હોવાથી અધિકૃત અને ગેરકાયદે પાર્કિંગ વચ્ચે કોઈ સ્પષ્ટતા રહેતી નથી, જેનો ગેરલાભ ઉઠાવીને ઉઘરાણી કરવામાં આવી રહી છે. વેપારીઓ અને વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પાલિકા તાત્કાલિક નિર્ણયનો અમલ કરે, પીળા પટ્ટા દોરે અને ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરે. નહીં તો રિંગ રોડ પર ટેક્સટાઈલ માર્કેટમાં ટ્રાફિક સમસ્યા વધુ વિકરાળ બનશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:16 am

મંડે પોઝિટીવ:દાંડી-હાંસોટ વચ્ચે 6 લેન કોસ્ટલ રોડ મંજૂર, અંતર-સમય અડધા થઈ જશે હાંસોટના કાંટિયાબારથી ભાવનગરનો 35 કિમીનો ભાવિ સી-રૂટ પણ લિંક થશે

દરિયા કાંઠાના વિકાસ માટે સરકારે દાંડી કોસ્ટલ લિંક રોડને મંજૂરી આપી છે. આ 6 લેન રોડ શરૂ થતાં દાંડીથી હાંસોટનું અંતર અને સમય અડધા થઈ જશે, જે 60 કિમી કાપવામાં દોઢ કલાક લાગે છે તેને બદલે નવા રોડ પર 30 કિમી થઈ જતાં અડધો કલાકમાં જઈ શકાશે. વળી, હાંસોટના કાંટિયાબાર પાસે સામે છેડે ભાવનગરને જોડતા ભાવિ સીરૂટનો પણ લાભ મળશે, જેથી સુરત, દક્ષિણ ગુજરાત, દમણના લોકોને પણ આ ટૂંકા રૂટનો લાભ મળશે. નવા કોસ્ટલ હાઇવેને કારણે આ લાભો થશે ટૂરિઝમ સાથે લોજિસ્ટિક્સ પણ વિકસશે યુવાઓ માટે સ્વ-રોજગારીના દ્વાર ખુલશેઅત્યાર સુધી ખેતી-પશુપાલન પર નિર્ભર ઓલપાડના દાંડી, મોર અને કરંજ પારડી જેવાં ગામોમાં હવે ઉદ્યોગો અને પર્યટનનો વિકાસ થશે. ડભારીની જેમ દાંડી અને મોર બીચને પણ આધુનિક સુવિધાઓ મળશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક યુવાઓ માટે સ્વ-રોજગારીની નવી તકો ઊભી થશે.સમય અને ઈંધણની પણ બચત થશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:13 am

ગટર લાઈનની મરામત:ઓપન એર થિયેટર પાસે ગટરના પાણીની સમસ્યાની જડ રામદેવપીર મંદિર પાસે નીકળી!

ભુજમાં ઓપન એર થિયટરના દરવાજા પાસે ગટરની સમસ્યા ઉકેલાતી ન હતી. આખરે તેની જડ રામદેવ પીરના મંદિર પાસે નીકળી છે, જેથી નગરપાલિકાની ગટર શાખાએ ખોદકામ કરીને તૂટેલી પેટા લાઈન બદલવાનું શરૂ કરી દીધું છે. જે બાદ હલ આવી જશે એવો દાવો ઈજનેરે કર્યો હતો. નગરપાલિકાની બાંધકામ શાખા રોડ બનાવે અને ગટર શાખા તોડી નાખે, જેથી સમસ્યા ઠેરની ઠેર રહે એ વાત છેલ્લા દોઢ બે દાયકાથી વકરી છે. હવે તો બાંધકામ શાખા પણ કચ્છી કહેવતની જેમ “ડે લધા ડાર મેં પાણી’’’’ની જેમ સી.સી. રોડ બનાવવામાં વેઠ ઉતારી રહી હોવાનું સામે આવ્યું છે. જે વચ્ચે હાડકાના ડોકટરને કારણે દર્દીઓની સતત અવરજવર, ગેસ્ટહાઉસને કારણે પ્રવાસીઓના ઉતારા અને ખાણીપીણીના ધંધાર્થીઓને કારણે વહેલી સવારથી મોડી રાત સુધી ધમધમતા ઓપન એર થિયટર પાસેના દરવાજા પાસે છેલ્લા 15 દિવસ ગટરના પાણી માર્ગો ઉપર વહી નીકળ્યા છે, જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેની જડ નવી શાક બજારની સામે રામદેવ પીરના મંદિર નજીક પેટા લાઈન તૂટી જવા રૂપે મળી છે. ઈજનેર મનદિપ સોલંકીએ જણાવ્યું હતું કે, લાઈન બદલ્યા પછી સમસ્યા નહીં રહે. પૂર્વ નગરપતિના પ્રતિષ્ઠાન પાસે કાયમી ત્રાસદી!ઓપન એર થિયટરના દરવાજા પાસે પૂર્વ નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરનું વ્યવસાયિક પ્રતિષ્ઠાન છે. એ સ્થળે ગટરની ચેમ્બરના પાણી રોડ ઉપર વહી નીકળવાની સમસ્યા અવારનવાર સર્જાય છે. દર વખતે અલગ અલગ કારણો અપાય છે અને હવે વધુ એક કારણ અપાયું છે!

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 6:10 am