પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં 6 દિવસ અગાઉ ભરૂચથી કપડાંનો વેપારી મહિલા મિત્રને લઈ અત્રે આવ્યો હતો. તે વેપારી અને મહિલાનું અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનો બનાવ બન્યો હતો. જેમાં નકલી એસ.ઓ.જી બનેલા પોલીસ વિભાગના બે અસલી જવાનોની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. જોકે આ અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે આ અંગે અપહરણ અને ખંડણીની કલમો લગાવી તપાસ શરૂ કરી છે. ગત 12 નવેમ્બરના રોજ સવારે ભરૂચના વેપારી અફવાન પોતાની મહિલા મિત્ર અને અન્ય મિત્ર સાથે એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશનના કામે ઈનોવા લઈને આવ્યા હતા.મહિલા મિત્રનું એડમિશનું કામ પૂર્ણ થતાં ત્રણ પરત ભરૂચ જવા દોઢ વાગે નીકળ્યા હતા. આ દરમ્યાન એમની ઈનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલાં એસ.આર.પી ગ્રુપ- 9 પાસે એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઊભી રાખવી હતી અને એમાંથી ખાખી કલરનું પેન્ટ પહેરેલો એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે ઉતર્યો હતો અને અંદર બેસી જઈને પોલીસ હોવાનું જણાવ્યું હતું અને બધાના ફોન લઈ લીધા હતા અને મહિલા મિત્રને નીચે ઉતારી કોઈ મેડમ પાસે લઈ જવા માટે સફેદ સ્કોર્પિયો ગાડીમાં લઈ ગયા હતા. બાદમાં વેપારીના ડ્રાઈવરને કાર અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર થઈ લઈ લેવા જણાવ્યું હતું અને રસ્તામાં પોતે અમદાવાદ એસ.ઓ.જીના જવાનો છીએ તું કેવા ધંધા કરે છે, એની અમને ખબર છે. અમારા પીઆઇ તને ઊંધો લટકાવીને મારશે, તું જેલમાં જઈશ અને વકીલોને 50 લાખ આપીશ તો પણ નહીં છૂટી શકે એમ જણાવી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.જે નહીં હોવાનું અફવાને જણાવ્યું હતું. રકઝક કરતાં કાર એક્સપ્રેસ હાઈવેના અમદાવાદ સીટીએમ નાકે પહોંચી હતી. અંતે વેપારીએ 4.5 લાખ આપવાની તૈયારી દર્શાવતા અફવાનને પરત વડોદરા લવાયો હતો. બાદમાં એના ભાઈ સાથે ફોન પર વાત કરતાં ભરૂચથી 4.5 લાખ લઈને તાત્કાલિક વડોદરા પહોંચવા જણાવ્યું હતું અને કાલાઘોડા પાસે ઉભો રાખ્યો હતો અને ફોન કરીને લાલબાગ પાસે આવેલા એટીએમમાં રૂપિયા મૂકી દેવા માટે જણાવ્યું હતું. 4.5 લાખ મળી ગયા બાદ નકલી એસ.ઓ.જી બનેલા જવાનોએ અફવાનને છોડી દીધો હતો, પરંતુ, મોબાઇલ ફોન પરત આપ્યો ન હતો. બીજા દિવસે ફોન કરી એક લાખ રૂપિયા આપી ફોન પરત લઈ જવાનું કહેતા વેપારી ખંડણીખોરોએ આપેલા સરનામે અકોટા પોલીસ લાઇન પાસે આવી એક લાખ આપી ફોન પરત મેળવ્યો હતો. બાદમાં આખી ઘટનામાં નકલી પોલીસ બનેલા લોકો ઉપર શંકા જતા માંજલપુર પોલીસ મથકે પહોંચી અફવાને ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે યાજ્ઞિક સાહેબની ઓળખ આપનાર, આફતાબ પઠાણ અને અન્ય એક ઈસમ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે માંજલપુર પોલીસ મથકે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ છે,જેની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસિડાઇઝ અનાજ અને વિવિધ જણસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને કોમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિ સાથે જોડાયા બાદ અનેક ટેકનિકલ અને માનવસર્જિત ખામીઓને કારણે દુકાનદારો તથા રાશનકાર્ડ ધારકો રોજબરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સર્વર ડાઉન, એરર, ધીમી કામગીરી, ટેકનિકલ ખામીઓથી હેરાનગતિવ્યાજબી ભાવની દુકાન ખાતે બાયોમેટ્રિક ડિવાઇસથી આધાર આધારિત ચકાસણી ફરજિયાત છે. પરંતુ સર્વર વારંવાર ડાઉન થવું, વિવિધ એરર આવવી અને DHCP સમસ્યાઓને કારણે વિતરણ પ્રક્રિયા ધીમી પડે છે. દુકાનદારોનો આક્ષેપ કર્યા હતા કે, સર્વર ઠપ થઈ જાય એટલે લાંબી લાઈનો લાગે છે. ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. વિતરણમાં વિલંબ થતા સરકારની વિશ્વસનીયતા ઉપર પણ અસર પડે છે. OTP વિકલ્પ બંધ, માનવસર્જિત ખામીથી મુશ્કેલી બમણીફિંગરપ્રિન્ટ ન મળે તેવા સંજોગોમાં OTPથી વેરિફિકેશનની વ્યવસ્થા છે, છતાં અધિકારીઓ દ્વારા વેપારીઓને આ વિકલ્પનો ઉપયોગ ન કરવા દબાણ કરવામાં આવતું હોવાની દુકાનદારોમાં પ્રબળ નારાજગી છે. તે ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી જણસીઓ માટે અલગ બિલ બનાવવા પડે છે, જેના કારણે એક જ ગ્રાહકના બે વખત ફિંગરપ્રિન્ટ લેવાં પડે છે. સર્વર ઉપર વધારે લોડ પડે છે. સમય અને શ્રમ બંને બમણો થાય છે. ઘણીવાર બીજી વખત બાયોમેટ્રિક મળવાનું પણ મુશ્કેલ બને છે. દુકાનદારોનું કહેવું છે કે, હિસાબી સરળતા માટે બનાવાયેલી આ પદ્ધતિથી 17 હજાર દુકાનદારો અને 74 લાખ રાશનકાર્ડધારકોની તકલીફ વધી રહી છે. બિનજરૂરી વિકલ્પો–બિલિંગ ધીમી, કામગીરી જટિલસરકારના સોફ્ટવેરમાં માસ સિલેક્શન, ડિવાઇસ સિલેક્શન જેવા બિનજરૂરી વિકલ્પો મુકાતા બિલિંગ પ્રક્રિયા ધીમી પડે છે. દુકાનદારોનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા આ ખામીઓ સુધારવા કોઈ ગંભીરતા દાખવાતી નથી. EKYCથી રાજ્યના 74 લાખ રાશનકાર્ડધારકોનું સંપૂર્ણ વેરીફિકેશન થઇ ચૂક્યું બધા સભ્યોના આધાર લિન્કિંગ અને EKYC પૂર્ણ થવા પામ્યાં હોવાથી ગેરરીતીની શક્યતા નાબૂદ થઇ ગઈ છે.આ પછી પણ દરમહિને બાયોમેટ્રિક ફરજિયાત રાખવાનું હવે ગરીબો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. સલાહ: મોબાઇલ પર ફૂડ કૂપન સિસ્ટમ અમલમાં લાવો દુકાનદારો અનુસાર, હાલની વ્યવસ્થામાં સુધારાના ભાગ રૂપે નીચેના વિકલ્પો તાત્કાલિક અમલમાં લાવવા જોઈએ. 1. દર મહિને સરકાર ફૂડ કૂપન જનરેટ કરે 2. દુકાનમાં આ ટ્રાન્ઝેક્શન ID એન્ટર કરતાં જ બિલ જનરેટ થાય દુકાનદારો અને લાભાર્થીઓની સર્વાનુમતે માંગ છે કે સરકાર સરળ, ઝડપી અને સુરક્ષિત પદ્ધતિ અમલમાં લાવી ગરીબ અને જરૂરિયાતમંદોને રાહત આપે તથા હાલની ટેકનિકલ ખામીઓને દૂર કરે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર 2025 સુધી માલવહનમાં કુલ 29.18 મિલિયન ટન માલ લોડ કરીને ગયા વર્ષની તુલનામાં 5.92% ગ્રોથ નોંધાવી છે. સાથે જ આ દરમિયાન 3865 કરોડથી વધુની આવક મેળવી છે, જે ગયા વર્ષ કરતા 2.63% વધારે છે. મંડળનો મોટો ફાળો ગાંધીધામ વિસ્તાર તરફથી મળ્યો છે. અહીંથી 22.77 મિલિયન ટન માલ લોડ કરવામાં આવ્યો અને 3077.04 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. સરેરાશ વેગન લોડિંગમાં પણ આ વર્ષે દરરોજ 2842 વેગન લોડ થયા જ્યારે છેલ્લા વર્ષે આ આંકડો 2699 વેગન હતો. એપ્રિલથી ઓક્ટોબર 2025 દરમિયાન પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે અનેક નવી પહેલ કરી છે. કોમોડિટી પ્રમાણે પ્રદર્શન (એપ્રિલ–ઓક્ટોબર 2025) આ સિવાય ગાંધીધામ વિસ્તારમાં કુલ 10,181 રેક્સ દ્વારા 22.77 મિલિયન ટન માલ વહન થયું અને 3077.04 કરોડની આવક મળી. કોમોડિટી પ્રમાણે પ્રદર્શન (એપ્રિલ–ઓક્ટોબર 2025) આ સિવાય જિપ્સમ, ક્લિંકર, મોલેસિસ, દાળ, ખાંડ, બેમ્બૂ પલ્પ સહિતની અન્ય વસ્તુઓએ પણ આવકમાં ફાળો આપ્યો.
મુંબઈ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સોલાર એનર્જી સેક્ટર સાથે સંકળાયેલી એક અગ્રણી કંપની પર કરવામાં આવેલા દરોડાનો રેલો દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યો છે. મુંબઈની ટીમે વારી ગ્રુપના કર્તાહર્તાઓનાં મુંબઈ, વાપી અને ચીખલી ખાતે આવેલી ઓફિસો અને નિવાસ્થાનો પર સઘન તપાસ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા અધિકારીઓ દ્વારા ગ્રુપના તમામ દસ્તાવેજો, ડિજિટલ રેકર્ડ્સ અને સંપત્તિની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ગ્રુપે તાજેતરમાં જ સીએઆર ફંડમાં કરોડો રૂપિયાની જાહેરાત પણ કરી હતી. આ સોલાર કંપનીના ઓપરેશન મેઇન્ટેનન્સની જવાબદારી અન્ય એક સોલાર કંપનીને સોંપવામાં આવી છે. આ તપાસ દરમિયાન, આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. આ તપાસનું કેન્દ્રબિંદુ બિલ્ડરો દ્વારા ચીખલી ખાતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના જમીનના સોદા છે. કરોડોના જમીન સોદામાં કરચોરીની શંકાઅધિકારીઓ મુખ્યત્વે એ દિશામાં તપાસ આગળ વધારી રહ્યા છે કે, આ જમીનના વેચાણના વ્યવહારોમાં કેપિટલ ગેઈન ટેક્સ યોગ્ય રીતે ભરવામાં આવ્યો છે કે કેમ અને આ સોદાઓમાં કેટલી રકમ રોકડમાં લેવામાં આવી છે. જમીનના સોદા સંબંધિત ગુપ્ત ચીઠ્ઠીઓ અને અન્ય કાગળો શોધવા માટે બિલ્ડરની ઓફિસ પર તપાસ કરવામાં આવી રહી છે. સોલાર કંપની પરના દરોડાની કડીમાં સુરત શહેરના એક શાહ અટકધારી બિલ્ડર અને બ્રોકર પણ આવકવેરા વિભાગના સાણસામાં આવ્યા છે. આ બિલ્ડર અગાઉ પણ જમીનના વિવાદોમાં સપડાયા હોવાનું જાણવા મળે છે. મુંબઈ આવકવેરા વિભાગની આ કાર્યવાહીએ સુરત અને દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ દરોડાઓ દ્વારા કરોડોના જમીન સોદામાં કરચોરીની શંકા પર તપાસ કરવામાં આવી રહી છે.
સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલા પુત્ર પર અને ત્યાર બાદ પિતા પર કિશોરે હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે ડિંડોલી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. 15 વર્ષના સગીરે બાળક પર હુમલો કર્યો હતોનવાગામ ડિંડોલીમાં સાઇનાથ સોસાયટી ખાતે રહેતા અને વેપાર કરતા શરદ ઈશ્વરભાઈ પાટીલ (ઉ.વ. 35)ના 10 વર્ષના પુત્ર સાથે આ ઘટનાની શરૂઆત થઈ હતી. શરદભાઈનો પુત્ર ધોરણ-6માં અભ્યાસ કરે છે. તારીખ 15 નવેમ્બર 2025ના રોજ બપોરે લગભગ સાડા ત્રણેક વાગ્યાના સુમારે શરદભાઈનો પુત્ર સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહ્યો હતો. તે વખતે મોતી એસ્ટેટ-1, નવાગામ સ્થિત એક ઓટલા પર બેઠેલા 15 વર્ષના કિશોરે આ બાળકને કોઈપણ કારણ વગર ઊભો રાખી ઝઘડો કરવા લાગ્યો. કિશોરે હાથમાં રહેલા ચપ્પુ જેવા સામાન વડે બાળકને માર્યો હતો, જેનાથી ડરીને બાળક ત્યાંથી ભાગી ગયો અને ઘરે આવીને માતાને સમગ્ર ઘટનાની જાણ કરી. કિશોરના મામાની બાળકના પિતા સાથે બોલાચાલીહુમલાના બાદ બાળકના માતાએ આ બાબતે કિશોરના પરિવારને ફરિયાદ કરી હતી. બીજા દિવસે કિશોરે બાળકના માતાને પણ ધમકી આપી હતી. શરદ પાટીલ સાંજે સાતેક વાગ્યાના સુમારે તેમના પુત્ર સાથે થયેલી ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવા માટે મોતી એસ્ટેટ સોસાયટી ગયા હતા. જ્યારે તેઓ મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યા હતા, ત્યારે ત્યાં અન્ય એક વ્યક્તિ જે કિશોરના મામા છે તે આવી ગયો અને સી.સી.ટી.વી. રેકોર્ડિંગ જોવા લાગ્યો. શરદભાઈએ તેમને તેમના પુત્રને ચપ્પુથી કેવી રીતે મારવામાં આવ્યું તે જોવા માટે કહેતા, કિશોરના મામાએ તેમની સાથે બોલાચાલી શરૂ કરી. હુમલાખોર કિશોરનો બાળકના પિતા પર ચપ્પુથી હુમલોતે દરમિયાન 15 વર્ષનો કિશોર પણ ત્યાં આવી ગયો. આરોપી કિશોરે શરદભાઈને કહ્યું કે, મારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા માંગો છો? તમારે જે કરવું હોય તે કરી લો. હું તમને જોઈ લઈશ. તમારો છોકરો પણ અહીંથી સ્કૂલે જતો હોય છે અને તમારા પત્નીને પણ જોઈ લઈશ, તેમ કહી ધમકી આપવા લાગ્યો. તયાર બાદ કિશોરે શરદભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી અને તેના ખિસ્સામાં રહેલ ચપ્પુ કાઢીને શરદભાઈને ડાબી આંખના ભાગે માર્યું, જેના કારણે તેમને ઈજા થઈ અને લોહી નીકળ્યું. કિશોર બીજી વખત પણ મારવાની કોશિશ કરતા શરદભાઈએ ચપ્પુ પકડી લીધું, જેના કારણે તેમને ડાબા હાથની હથેળીના ભાગે પણ સામાન્ય ઈજા થઈ. આ દરમિયાન કિશોરે શરદભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. કિશોર મામાએ પણ શરદભાઈ સાથે ગાળાગાળી કરીને ઢીક-મુક્કીનો માર માર્યો હતો. લોકોનું ટોળું ભેગું થતાં બંને ત્યાંથી ભાગી ગયા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હુમલાખોર કિશોર સામે ફરિયાદશરદભાઈને આંખ પાસે ઈજા થતાં લોહી નીકળતું હોવાથી તેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને ડાબી આંખની નીચેના ભાગે બે ટાંકા લઈ સારવાર આપી રજા આપી હતી. ઘટનાની ગંભીરતા જોતા, શરદભાઈ પાટીલે તેમના ભાઈઓ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કિશોર અને તેના મામા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોલાચાલી બાદ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સંધેજા વિસ્તારમાં રહેતા અને પ્રોપર્ટી લે-વેચનો ધંધો કરતા બ્રોકરે કેનેડાના ઈમિગ્રેશન લોયર હોવાનો દાવો કરનાર સરગાસણના ઠગ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વેપારીના જીજાજીને યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કુલ 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ ખોટા દસ્તાવેજો અપલોડ કરવાના કારણે અરજદાર પર 10 વર્ષનો વિઝા પ્રતિબંધ પણ લાગી ગયો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 2009માં ફરિયાદીની ઓળખ આરોપી સાથે થઈ હતીગાંધીનગરના રાંધેજા મૈત્રી એવ્નયુ સોસાયટીમાં રહેતા બ્રોકર કુંદનભાઈ ગોવિંદભાઈ પટેલની ફરિયાદ મુજબ, વર્ષ 2009માં તેઓ લંડનમાં સ્ટુડન્ટ વિઝા પર હતા. ત્યારે વેમ્બલી સ્થિત પી.જી.માં તેમની ઓળખ અનિરુદ્ધ અનિલાબેન બ્રહ્મભટ્ટ (રહે. સિદ્ધરાજ ઝોલ્ડ,સરગાસણ, ગાંધીનગર) સાથે થઈ હતી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કેનેડામાં ઈમિગ્રેશન લોયરની ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી હોવાનું અને ત્યાં ઈમિગ્રેશન લોયર તરીકે કામ કરતો હોવાનું કુંદનભાઈને ડિસેમ્બર-2024ના અરસામાં જણાવ્યું હતું. કુંદનભાઈએ 1.40 લાખ રોકડા એડવાન્સ પેટે આપ્યા હતાત્યારબાદ અનિરુદ્ધે કુંદનભાઈને તેમના સગા-સંબંધીઓમાંથી કોઈને વિદેશ જવાની ઈચ્છા હોય તો જાણ કરવા જણાવ્યું હતું. આથી કુંદનભાઈએ તેમના જીજાજી નૈતિકકુમાર બાબુલાલ પટેલને યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કામ 18.50 લાખમાં નક્કી કર્યું હતું. બાદમાં અનિરુદ્ધ માર્ચ-2025માં ભારત આવ્યો ત્યારે તા. 1 એપ્રીલ 2025ના રોજ ગાંધીનગરના રાયસણ ખાતે કુંદનભાઈએ તેને રોકડા 1.40 લાખ એડવાન્સ પેટે આપ્યા હતા. ત્યારબાદ કુંદનભાઈએ નેટ બેન્કિંગ દ્વારા પણ અલગ-અલગ તારીખોમાં અનિરુદ્ધના બેન્ક ખાતામાં કુલ રૂ .13.60 મોકલી આપ્યા હતા. આમ, કુંદનભાઈએ કુલ 15 લાખ અનિરુદ્ધને ચૂકવ્યા હતા. ખોટા ડોક્યમેન્ટ્સના કારણે અરજદાર પર 10 વર્ષનો વિઝા પ્રતિબંધબાદમાં અનિરુદ્ધે સ્પોન્સર લેટર અને એપોઇન્ટમેન્ટ લેટર વોટ્સએપમાં મોકલી આપી વિઝાનું કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારબાદ અનિરુદ્ધે કુંદનભાઈના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને સંપર્ક તોડી નાખ્યો હતો. ત્યારે 17 જૂન 2025ના રોજ કુંદનભાઈના ઘરે પોસ્ટ મારફતે તેમના જીજાજીનો અસલ પાસપોર્ટ પાછો આવ્યો હતો. જેમાં કોઈ વિઝા એન્ટ્રી થઈ નહોતી. જેથી યુ.કે. ઈમિગ્રેશન વિભાગમાં મેઈલ દ્વારા પૂછપરછ કરતાં કુંદનભાઈને જાણવા મળ્યું કે, તેમના જીજાજીની ફાઇલ ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના કારણે રિજેક્ટ થઈ છે અને તેમના જીજાજી પર 10 વર્ષનો વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે અંગે કુંદનભાઈએ પોલીસમાં અરજી આપતા અનિરુદ્ધે પંચ લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના 10 લાખ આજદિન સુધી પાછા નહીં આપતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
કેસની વિગતો મુજબ, સુરેશ ડાભી ઉર્ફે ગુડિયોએ માનસિક અક્ષમતા ધરાવતી 21 વર્ષીય યુવતી સાથે ચાર વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ડિસેમ્બર, 2023માં પીડિતાના પરિવારને તેની ગર્ભાવસ્થા વિશે જાણ થઈ હતી. તબીબી તપાસ દરમિયાન, ડૉક્ટરોએ મેડિકલ હિસ્ટ્રી લેતી વખતે ઘટનાની પૂછપરછ કરી. ત્યારે પીડિતાએ આરોપીના નામ સાથે એ પણ જણાવ્યું કે કેવી રીતે તે તેને બેઝમેન્ટમાં લઈ જઈને તેના સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. પીડિતા માનસિક રીતે અક્ષમ હોવાથી ગર્ભપાતનું નક્કી કર્યુંપીડિતા પક્ષે સાહેદો ઉપરાંત, પ્રોસિક્યુશને FSLની DNA સેમ્પલની રિપોર્ટ પર નિર્ભરતા રાખી હતી, જે આરોપી સાથે મેળ ખાતી હતી. આના આધારે કૃષ્ણાનગર પોલીસે આરોપી સામે IPC કલમ 376(2)(l) હેઠળ દુષ્કર્મની કલમો અંતર્ગત ચાર્જશીટ દાખલ કરી હતી. પીડિતા માનસિક રીતે અક્ષમ હોવાથી, પરિવારે તેના ગર્ભપાત કરવાનું નક્કી કર્યું હતું. ડૉક્ટરોએ પીડિતાને 75% માનસિક અક્ષમતા દર્શાવતું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. આરોપીને આજીવન કેદની સજા ફટકારીટ્રાયલ બાદ સેશન્સ જજ જે. આઈ. પટેલે આરોપીને દોષિત ગણાવીને તેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી અનેક વખત પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો પુરાવો મળ્યો છે, જેના પરિણામે તે ગર્ભવતી થઈ હતી. આવી પરિસ્થિતિમાં આરોપી કોઈપણ પ્રકારની રાહતને પાત્ર નથી. કાયદામાં નિર્ધારિત સજા ફરમાવવી યોગ્ય છે. કેસની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, પીડિતાને યોગ્ય વળતર આપવાનું પણ જરૂરી બને છે. તમામ પાસાઓને જોતા આરોપીને કાયદા મુજબની સજા ફટકારવી ન્યાયસંગત અને યોગ્ય લાગે છે.
રાજ્ય સરકાર દ્વારા દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ નવેમ્બર મહિનામાં ગુરુવાર, 20 નવેમ્બર 2025એ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની વિવિધ રજૂઆતો અને ફરિયાદોનું ઓનલાઈન નિવારણ કરવામાં આવશે. વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદોને ઝડપી અને પારદર્શક રીતે નિકાળવાનો છે. ત્યારથી દર મહિને રાજ્ય સ્વાગતનું આયોજન થઈ રહ્યું છે અને નાગરિકોને સીધો લાભ મળી રહ્યો છે. નવેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરુવાર, 20 નવેમ્બરના રોજ યોજાશે. નાગરિકો પોતાની રજૂઆતો કરવા માટે એજ દિવસ સવારે 8.30 થી 11.30 વચ્ચે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ મળી શકશે. રાજ્ય સરકારનું માનવું છે કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોની સમસ્યાઓને ઝડપી રીતે સાંભળી તેનું સમાધાન કરવામાં સરળતા રહે છે તથા શાસન વધુ જનકેન્દ્રિત બને છે.
શહેરની સિવિલ હોસ્પિટલમાં માત્ર 9 કલાકમાં 2 અલગ અલગ પરિવારોએ પોતાના સ્વજનોના અંગદાનનો નિર્ણય લીધો જેનાથી કુલ 6 અંગો મળ્યા અને આ 6 અંગોથી 6 લોકોને નવું જીવનદાન મળ્યું. પહેલા કિસ્સામાં વિરમગામના ખેંગારીયા ગામના 35 વર્ષીય સંજયભાઈને 14 નવેમ્બરે મગજમાં હેમરેજ થતાં શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ 17 નવેમ્બરે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. અંગદાન ટીમનાં ડો. મોહિત ચંપાવત દ્વારા સમજાવ્યા બાદ સંજયભાઈની પત્ની સજનબેને પતિના બે કિડની અને એક લિવર દાન કરવા મંજૂરી આપી. 4 કિડની અને 2 લિવરનું પ્રત્યારોપણ કરાશેબીજા બનાવમાં 48 વર્ષીય મહિલા દર્દીને પણ ICUમાં સારવાર દરમિયાન 17 નવેમ્બરે બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. અંગદાન ટીમના ડો. ભાવેશ પ્રજાપતિની સમજણ બાદ પરિવારજનોએ બે કિડની અને એક લિવર દાન કરવાનો નિર્ણય લીધો. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યા મુજબ, આ બન્ને દાનોમાંથી મળેલા 4 કિડની અને 2 લિવરનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. કુલ 182 પેશીઓનું દાન પ્રાપ્ત થયુંવધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં અંગદાન કાર્યક્રમ શરૂ થયા પછી અત્યાર સુધી 220 અંગદાતાઓ દ્વારા કુલ 911 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે. તેમાં 404 કિડની, 194 લિવર, 71 હૃદય, 34 ફેંફસા, 18 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 નાનાં આંતરડાં સહિતનાં અગત્યનાં અંગોનો સમાવેશ થાય છે. તેમજ 156 ચક્ષુ અને 26 ચામડી સહિત કુલ 182 પેશીઓનું દાન પણ પ્રાપ્ત થયું છે. અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યોસિવિલ હોસ્પિટલનું કહેવું છે કે, આ માત્ર આંકડા નથી, પરંતુ ગુજરાતમાં વધી રહેલી અંગદાન જાગૃતિનો જીવંત પુરાવો છે. હોસ્પિટલએ તમામ અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો છે અને વધુમાં વધુ લોકો આ કાર્યમાં જોડાય તેવી અપીલ કરી છે.
મૂળ જામનગરનો વતની અને હાલ રાજકોટના રેલનગરમાં ફાયરબ્રીગેડ પાસે રહેતો મનીષ મોહનભાઇ ડાભી ગત તા.16 નવેમ્બરના રોજ ઘર નજીક ભુર્ગભ ગટરનું કામ ચાલતું હોય ત્યારે સેન્ટ્રીંગ કામ કરતો હતો દરમિયાન ગટરના દસેક ફુટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મનીષ ત્રણ ભાઇઓમાં નાનો અને અપરણિત હતો પોતે રાજકોટમાં સેન્ટ્રીંગ કામની મજૂરી કરતો હતો. નેપાળી યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત ગોંડલ રોડ પર આવેલ એક કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓરડીમાં રહેતા અને ત્યાં જ કોમ્પલેક્ષની ચોકીદારી કરતા પુરનસીંગ પ્રતાપસીંગ સુનાર (ઉ.વ.45)એ આજે વહેલી સવારે અગાશી પર પાળી સાથે વાયર બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રાત્રે ઓરડીમાં પુરનસીંગ પત્ની સાથે સુતો હતો ત્યારબાદ સવારે જોવા ન મળતા પત્ની જાલુબેન તેની શોધખોળ કરવા નીકળી હતી. દરમિયાન અગાશી પર પહોંચતા પતિ પુરનસીંગ લટકતો જોવા મળ્યો હતો જેથી દેકારો કરતા ટોળુ એકઠું થઇ ગયું હતું અને પુરનસીંગને ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પુરનસીંગને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે છે. યુવકે ક્યાં કારણસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોય જેથી ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઇમિટેશનના ધંધાર્થી યુવકનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશન સામે મેરામબાપાની વાડીમાં રહેતા ગોપાલ જીલાભાઇ શીંગાળા (ઉ.22)એ ગત મોડી રાત્રે પોતાના ઘરે પંખામાં ચુની બાંધી ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેની નાની બહેન જોઇ જતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા તેઓએ ગોપાલને ઉતારી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગોપાલ બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરનો અને અપરિણીત છે. તે ઇમીટેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થાય છે. ક્યાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેનાથી પરિવારજનો અજાણ હોય જેથી બનાવ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં યુનિવર્સીટી કેમ્પસની અંદર આવેલી સરકારી સમરસ હોસ્ટેલમાં રહેતા અને અભ્યાસ કરતા 18 વર્ષના યુવકે કોઇ કારણસર ફીનાઇલ પી જતા સારવાર માટે તેને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 21 વર્ષીય યુવાનનું બેભાન હાલતમાં મોત ગોડાઉન રોડ પર આરાધના સોસાયટીમાં રહેતો મુન્ના સુખદેવ ઝરીયા (ઉ.વ.21) નામનો યુવક વહેલી સવારે ઘરે બેભાન થઇ જતા સારવાર માટે તેને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુન્નો ટીબીની બીમારીથી પીડાતો હતો અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. 19 વર્ષીય યુવાનનું અચાનક બેભાન હાલતમાં થયું મોત ઘાંચીવાડ શેરી નંબર 7માં રહેતો સાદીફુલ ઇસ્લામભાઈ મંડલ (ઉં.વ.19) ગઈકાલે રાત્રે 2.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતક મૂળ પશ્ચિમ બંગાળના વતની છે અને પિતા ઘરેણાં ઘડવાનું મજૂરી કામ કરે છે. પુત્ર સાદીફુલ ચાંદી પોલીસનું કામ શીખતો હતો અને તે માતા પિતાનો એકનો એક પુત્ર હતો. મોડી રાત્રે બધા સુતા હતા ત્યારે સાદીફુલ અચાનક જોર જોરથી શ્વાસ લેવા લાગ્યો હતો જેથી પરિવાર દ્વારા પૂછ્યું શું થાય છે પૂછ્યું પરંતુ કંઈ બોલે તે પહેલા બેભાન થઈ ગયો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ શહેરની પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા વાહનોનું ચોક્કસ યાદીનું રજિસ્ટર મેન્ટેન કરવા માટે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. ગેરેજમાં મોડીફિકેશન માટે આવતી ગાડીઓની યાદી મેન્ટેન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ગેરેજમાં કોઇ પણ વાહન વેચાણ કે રિપેરિંગ માટે આવે તો ચોક્કસ વિગતોનું રજિસ્ટર્ડ બનાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ ગેરેજ પરના CCTVનું 30 દિવસ સુધીનું રેકોર્ડિંગ રાખવા માટે પણ આદેશ કરાયો છે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુંઅમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. માલિક દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. કારણ કે ગેંગના સભ્યો ગુનાખોરી માટે ચોરી કરેલા વાહનનો ઉપયોગ કરતા હોય છે. તેમજ પોલીસથી બચવા માટે ચોરી કરેલા વાહનોનું મોડીફિકેશન કરવી દેતા હોય છે. પરંતુ જો મોડીફિકેશન થયા બાદ પણ વાહનોની પૂર્તિ વિગતો હોય તો પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં સરળતા થતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોઈ મોટી ઘટના ન બને તે માટે પહેલાથી જ સતર્ક થઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મોડીફિકેશન થતા વાહનોની વિગતોનું રજિસ્ટર્ડ બનાવોશહેરના તમામ ગેરેજ અને ગાડીઓની સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ કે વેચાણ માટેની કામગીરી કરતા લોકો માટે સૂચના આપવામાં આવી છે. હવેથી મોડીફિકેશન માટે આવતા તમામ વાહનોનું અને જે તે વાહન માલિકનું વિગતો સાથેનું રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી કરીને ચોરી કરાયેલા વાહનોનું મોડીફિકેશન કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે તો પોલીસને રજિસ્ટર્ડના આધારે આરોપીઓને પકડી શકે. તેમજ પોલીસ જ્યારે તપાસ માટે આવે ત્યારે મેન્ટેન કરેલું રજિસ્ટર્ડ બતાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. રજિસ્ટર્ડમાં શું શું વિગતો મેન્ટેન રાખવી પડશે? અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આ તમામ વિગતો સાથેનું એક રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં કલીન ફૂડ હબ / ફૂડ સ્ટ્રીટ બનાવવાના કોન્સેપ્ટને ધ્યાને લઇ શહેરમાં સ્વચ્છતામાં વધારો થાય, શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને લોકોને હેલ્થી ફૂડ મળી રહે, ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય વગેરે વિવિધ હેતુઓ માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ફૂડ સ્ટ્રીટ બનાવવામાં આવનાર છે. શહેરીજનોના આરોગ્યને ધ્યાને લઈ ફૂડ સેફટીના ધારા-ધોરણો મુજબ લોકોને ફ્રેશ તથા હેલ્થી ફૂડ મળી રહે તે માટે ફૂડ સ્ટ્રીટ શ્રેષ્ઠ ઉદાહરણ બનશે. આ અંગે સ્ટેડનિંગ કમીટી ચેરમેન રાજુ રાબડીયા જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘા સર્કલ વિસ્તારમાં અંદાજિત 3305 ચો.મી. વિસ્તારમાં ફૂડ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ સ્ટ્રીટ / ફૂડ પાર્કમાં કુલ 24 કન્ટેનર રાખવામાં આવશે તથા તે મુજબ એરીયા ફાળવવામાં આવશે, જેમાં સેન્ટ્રલ સીટીંગ એરીયા ઉપરાંત કન્ટેનરની ઉપર પણ સીટીંગ એરીયા રાખવામાં આવેલો છે, જેથી ફૂડ પાર્કમાં વધુ સ્પેસ મળી શકે. આ ફૂડ પાર્કમાં પાર્કીંગ સહિતની તમામ જરૂરી સુવિધાઓ આવરી લઈ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ટુ-વ્હીલર તેમજ 4-વ્હીલર પાર્કિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીટીંગ એરીયા (ગ્રાઉન્ડ તથા સેકન્ડ ફલોર પર), ટોઇલેટ બ્લોક વિગેરેનો સમાવેશ કરવામાં આવશે. આવનારા દિવસોમાં જરૂરિયાત મુજબ શહેરમાં અન્ય સ્થળોએ પણ ફૂડ પાર્ક બનાવવા માટે આયોજન કરવામાં આવનાર છે. ત્યારે શહેરીજનો માટેની વિવિધ સુવિધાઓના કામો તથા ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો ઝડપથી તથા ગુણવત્તાસભર થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
ભાવનગરના દેવળીયા ગામ ખાતે પાટીદાર ખેડૂત વૃદ્ધ દંપતી પર અસામાજિક તત્વોએ પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કર્યો હતો. સંતાનો સુરતમાં રહે છે અને ગામડે રહેતા વૃદ્ધ દંપતી પર હુમલો થતાં સંતાનોમાં પણ ડરનો માહોલ છે. દંપતી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે પાટીદાર સમાજ આ વૃદ્ધ દંપતીની પડખે ઊભો રહી લડત આપી રહ્યો છે. 'મારા પપ્પાનું ગળું દબાઈને મારી નાખવાની કોશિશ કરી'પીડિત વૃદ્ધ ધનજીભાઈ ધોરાજીયાના પુત્ર ભરતભાઈએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં અમુક અસામાજિક તત્વો જે અમારા ઘરની એક્ઝેટ સામેવાળો પ્લોટ છે, એની ઉપર કબજો કરવા માંગતા હતા અને એ બાબતની અદાવત રાખીને એ લોકોએ અમારા પ્લોટની જે દીવાલ હતી, એ દીવાલ તોડી પાડી અને અમારા ઘરમાં ઘૂસી ગયા. મારા પપ્પાને માર્યા, ગળું દબાઈ દીધું અને ગળું દબાઈને મારી નાખવાની કોશિશ કરી હતી. 'મમ્મીને બે-ત્રણ લાફા મારી દીધા અને ગળાનો ચેઇન તોડી નાખ્યો'મારા મમ્મી બચાવવા માટે વચ્ચે પડ્યા તો એને બે-ત્રણ લાફા મારી દીધા, એનું પણ ગળું દબાઈ દીધું અને ગળાનો ચેઇન તોડી નાખ્યો અને લૂંટનો પ્રયાસ હતો. પછી મારા બા વચ્ચે પડ્યા જે 80 વર્ષનાં દાદીમા છે. તો એમને મન ફાવે એમ અપશબ્દો કહ્યા અને ધમકી આપી કે, જો આ પ્લોટ મને નહીં આપે તો હું તારા છોકરાને મારી નાખીશ, ભલે મારે 25 વર્ષ જેલમાં રહેવું પડે. એ પ્લોટનો કબજો તો અમે લઈને જ રહેશું. તમે આપો કે ન આપો. દસ્તાવેજો ભલે તમારી પાસે રહ્યા, કાગળિયા ભલે તમારી પાસે રહ્યા પણ એ પ્લોટનો કબજો અમે લઈને જ રહીશું. સુરતમાં પાટીદાર સમાજની તાત્કાલિક બેઠક મળી હતીભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામમાં એક જમીનના વિવાદને લઈને પાટીદાર સમાજના એક વૃદ્ધ પરિવાર પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ગામડાંઓમાં રહેતા સમાજના લોકોની સુરક્ષા અને સમરસતાના મુદ્દે વિચાર-વિમર્શ કરવા માટે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગ યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ 'ગામડાંઓને જીવંત કરવા' અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોનો ભય દૂર કરવાનો હતો. 'કમ્યુનિટી કિચન' શરૂ કરવાની યોજના પર વિચારણા કરાઈપાટીદાર સમાજે ગ્રામ્ય વિસ્તારોમાં સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ અને સૂચનો રજૂ કર્યા હતા. ગામડાઓમાં રહેતા વયોવૃદ્ધ પાટીદાર વડીલો માટે 'કમ્યુનિટી કિચન' (સામુદાયિક રસોડું) શરૂ કરવાની યોજના પર વિચારણા કરવામાં આવી, જેથી વૃદ્ધોને નિયમિત અને પોષક ભોજન મળી રહે. ગામડાઓમાં ગુનાખોરી અટકાવવા અને પુરાવા માટે સરકારી અથવા સ્વખર્ચે (સમાજના ખર્ચે) CCTV કેમેરાઓ મૂકવાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગઅસામાજિક તત્વો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ. સાથે જ, પોલીસ તંત્રના સહયોગથી સરઘસ કાઢીને ગામડાના લોકોને ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવા ભાર મૂકવામાં આવ્યો. ગામડાઓમાં દરેક સમાજ એક થઈને રહે અને સમરસતા જળવાઈ રહે તે માટે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સમાજે નક્કી કર્યું કે, જો કોઈ લુખ્ખા તત્વો સળી કરશે, તો આખો સમાજ એકજુટ થઈને ફરિયાદ કરવા માટે પોલીસ સમક્ષ આગળ આવશે. ગામડાના લોકોને સુરક્ષાની ખાતરી આપવી આવશ્યકમીટિંગમાં જણાવવામાં આવ્યું કે, સરકાર અને પોલીસ તંત્ર દ્વારા સપોર્ટ કરવામાં આવતો હોવા છતાં, હજુ પણ ગામડાંઓમાં રહેતા લોકો ફરિયાદ કરતા ડરે છે. આ ભય દૂર કરવા અને કાયદાનું શાસન સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્રએ વધુ મજબૂત અને તાત્કાલિક કાર્યવાહી કરીને ગામડાના લોકોને સુરક્ષાની ખાતરી આપવી આવશ્યક છે. આ બેઠક દ્વારા સમાજે ગ્રામ્ય સ્તરે શાંતિ અને ન્યાય માટે એક થવાનો સંદેશ આપ્યો છે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂ જુગાર ની બધી ને નેસ્તો નાબૂદ કરવા અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વધુ સક્રિય બની છે ત્યારે જૂનાગઢ રેન્જના આઇજી નીલેશ જાજડિયાની સૂચના અને જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ જેને લઈ એસ.ઓ.જી. જૂનાગઢના પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તથા ગુજસીટોક જેવા અસંખ્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા કુલ 03 આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામ નજીક વાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ સી ડિવિ. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાબી.એન.એસ. કલમ 308(5), 115(2) સહિત અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા હતા. થોડા દિવસો પહેલા પકડાયેલ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ અને તેની સાથેના માણસોએ ફરિયાદીને શાંતિથી નોકરી કરવી હોય અને પાર્ટીઓમાં જાવું હોય તો તેમની ગેંગને રૂપિયા દસ હજાર આપવાનું કહી, આરોપીએ તેની પાસેનું ધારીયું બતાવી, ફરિયાદીને થપ્પડ મારી કાઠલો પકડી રૂ. 2,500/- બળજબરી પૂર્વક મારી નાખવાની ધમકી આપી કઢાવી લીધા હતા. આ આરોપીઓને પકડવા એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલનમાં રહી, ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ હકીકત મેળવવામાં આવી હતી. જેમાં જાણવા મળેલ કે, આ કામના આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામ ખાતેના વાડી વિસ્તારમાં છુપાયેલા છે. જુનાગઢ એસઓજી એ સુરેન્દ્રનગરના ગેડીયા ગામ નજીકથી ફેઝલ ઉર્ફે મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોઝભાઈ મલેક તેની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 31 ગુન્હા નોંધાયેલા છે.રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ: તેની વિરુદ્ધ 08 ગુન્હા નોંધાયેલા છે. સીરાઝ બોદુભાઈ ઠેબા: તેની વિરુદ્ધ 02 ગુન્હા નોંધાયેલા છે. આ ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે.આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મળીને કુલ 41 ગુના નોંધાયેલા છે, એસ.ઓ.જી.ની ટીમે આરોપીઓ પાસેથી 1. મોબાઇલ ફોન નંગ-03: કિંમત રૂ. 70,000 ,હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર: કિંમત રૂ. 10,00,000,જીયો કંપનીનું રાઉટર નંગ-01: કિંમત રૂ. 1,000 મળી કુલ રૂ. 10,71,000/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે: આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પીઆઈ. આર.કે. પરમાર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ. કે.એમ. પટેલ, એસ.ઓ.જી.ના પીએસઆઇ એમ.જે. કોડીયાતર, એ.એસ.આઈ. રમેશભાઈ માલમ તથા પો.હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ, અનિરુધ્ધભાઇ વાંક, પો.કોન્સ. રોહીતભાઇ ધાધલ,મયુરભાઇ ઓડેદરા, કૃણાલ પરમાર, અરવિંદભાઇ વાવેચા, વિશાલભાઇ ડાંગર તથા ક્રાઇમ બ્રાન્ચના પો.કોન્સ. વરજાંગભાઇ બોરીચા સહિતના સ્ટાફ જોડાયેલ હતા.
સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપીની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇસનપુર વિસ્તારમાં રહેતો આરોપી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયેલા ક્રાઈમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપતો હતો અલગ અલગ સુવિધાઓ આપવાના બહાને ઓનલાઇન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. આરોપી માત્ર કીપેડ મોબાઇલનો જ ઉપયોગ કરીને ફોન કરતો હતો. પોલીસે હાલ આરોપીને સુરત પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. લાજપોર જેલનો જેલર હોવાની ખોટી ઓળખ આપીઝોન 2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં એક અજાણ્યા શખ્સે અડાજણ પોલીસસ્ટેશનના ગુનામાં બ્લેકમેઇલીંગમાં પકડાયેલા આરોપીની પત્નીને ફોન કર્યો હતો. આરોપીએ પોતે લાજપોર જેલનો જેલર હોવાની ઓળખ આપી હતી. બાદમાં ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. વાયરલ થયેલા ઓડિયોમાં આરોપીએ ભોગ બનનારને 90 દિવસ જેલમાં રહેવાની સુવિધાઓ માટે 15 હજારની માંગણી કરી હતી. આ બાબતે સુરતના સચિન પોલીસસ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી પાસેથી કીપેડ વાળા 6 ફોન મળી આવ્યાઅમદાવાદ ઝોન-2 ડીસીપી એલસીબી સ્ક્વોડને બાતમી મળી હતી કે પોલીસ અને નકલી અધિકારી તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર વ્યક્તિ દ્વારા સુરતના અડાજણ ના વ્યક્તિને બ્લેકમેલિંગ કેસમાં જેલર તરીકે ઓળખ આપી પૈસા પડાવ્યા છે જેથી નકલી જેલર બનીને પૈસા માંગીને ધમકી આપનાર રાજેશ ત્રિવેદી (ઉ. વ 49, રહે. આનંદ સોસાયટી વિભાગ 1, ઇસનપુર)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી અલગ અલગ છ જેટલા કીપેડ મોબાઇલ મળી આવ્યા હતા તેમજ બેંકની પાસબુક તેમજ બે એટીએમ મળી આવ્યા હતા. ન્યૂઝ ચેનલમાં ક્રાઈમના સમાચાર જોઈ આરોપીની વિગત મેળવતોવધુમાં તેમણે જણાવ્યું હતું આરોપી રાજેશ ત્રિવેદી અલગ અલગ ન્યુઝ ચેનલોમાં પ્રસારિત થતાં સમાચાર જોઇને બનાવની માહિતીઓ મેળવતો અને બાદમાં જસ્ટ ડાયલ મારફતે પોલીસ સ્ટેશનનો નંબર લઈને ફોન કરીને વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી લઇ લેતો હતો. બાદમાં આરોપીના સંબંધી કે પરિવારના સભ્યોને ફોન કરીને જેલર તરીકેની ઓળખ આપીને ટિફિન તેમજ વિસ્તાર સાહિત્ય અન્ય સગવડો આપવા માટે પૈસા માંગતો હતો. ઓનલાઇન અથવા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહેતો હતો જો કોઈ પૈસા આપવાની ના પાડે તો જેલમાં માર મારવાની અને ધમકી આપી આરોપી નાણાં પડાવતો હતો. આરોપી અગાઉ રામોલ, બાપુનગર, ગાંધીનગર, અમરેલી અને કાલુપુરમાં પણ ઝડપાયો હતો.
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને રાષ્ટ્રના એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં કાલે તા. 19 અને 20 નવેમ્બરના રોજ પાંચ વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર દક્ષિણની પદયાત્રામાં જોડાશે. હર્ષ સંઘવી ગાંધીનગર દક્ષિણની પદયાત્રામાં જોડાશેકલેક્ટર મેહુલ દવેએ પદયાત્રાના સંપૂર્ણ કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઉજવણી બે દિવસમાં વહેંચાયેલી છે. પ્રથમ દિવસે 19 નવેમ્બરના રોજ બે સ્થળોએ પદયાત્રાનો પ્રારંભ થશે. કલોલ વિધાનસભા વિસ્તારમાં સવારે 10 વાગે નારદીપુરથી મોખાસણ-ભાદોલ થઈ ધમાસણા સુધીની યાત્રા શરૂ થશે. આ જ દિવસે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં બપોરે 4 વાગ્યે પીડીપીયુ ક્રોસ રોડ (શ્યામ શુકન) પાસેથી યાત્રા શરૂ થશે, જે સરદાર ચોક, કુડાસણ ખાતે પૂર્ણ થશે. આ પદયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહીને પદયાત્રીઓનો ઉત્સાહ વધારશે.બીજા દિવસે 20 નવેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લાના અન્ય ત્રણ વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે ત્રણેય યાત્રાઓ બપોરે 3 કલાકે શરૂ થશે. સરઢવ-રૂપાલથી રાંધેજા સુધી પદયાત્રા યોજાશેદહેગામ તાલુકામાં નાંદોલ ગામેથી યાત્રા શરૂ થઈને સલકી, વર્ધાના મુવાડા, અંગુથલા અને ધારિસણા સુધી જશે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં સરઢવ-રૂપાલથી રાંધેજા સુધી પદયાત્રા યોજાશે, જ્યારે માણસા તાલુકામાં લોદરાથી પદયાત્રાનો પ્રારંભ થઈને રીદ્રોલ-પાટણપુરા થઈ આજોલ સુધી પહોંચશે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી બી. જે પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે યોજાઈ રહેલી આ યાત્રાઓની સુંદર અને વ્યવસ્થા સભર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે. એન વાઘેલાએ પણ મહાનગરપાલિકામાં યોજાનારી પદયાત્રાના રૂટની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે માટે તેમણે રૂબરૂ રૂટ મુલાકાત પણ કરી લીધી છે.
રાણાવવમાં ત્રણ દારૂ ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા:લાખોનો દારૂ ઝડપાયો, ત્રણ આરોપીઓ ફરાર, ગુના દાખલ
રાણાવવ પોલીસે ગેરકાયદેસર દારૂના ધંધાને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ અંતર્ગત, પોલીસે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, ત્રણેય સ્થળોએથી આરોપીઓ દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે ત્રણ જુદા પ્રોહિબિશન કેસ દાખલ કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ અને જયમલ સામતભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પ્રથમ દરોડો રાણા વડવાળા ગામમાં રાજુ કિશોરભાઈ ફળદુની ભઠ્ઠી પર પાડવામાં આવ્યો હતો. અહીંથી 80 લીટર દેશી દારૂ અને દારૂ બનાવવાની ભઠ્ઠી સંબંધિત સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે, દરોડા દરમિયાન આરોપી રાજુ ફળદુ ફરાર થઈ ગયો હતો. બીજી રેડ રાજુ મેણંદભાઈ રાતીયાની ભઠ્ઠી પર કરવામાં આવી હતી. આ સ્થળેથી 30 લીટર દારૂ બનાવવાનો આથો, 15 લીટર તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો જપ્ત કરાયા હતા. પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપી રાજુ રાતીયા પણ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ત્રીજો દરોડો જયમલ ભરતભાઈ ઓડેદરાની ભઠ્ઠી પર પાડવામાં આવ્યો હતો. અહીંથી 190 લીટર દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીનું સામાન જપ્ત કરવામાં આવ્યું હતું. આ આરોપી જયમલ ઓડેદરા પણ દરોડા સમયે સ્થળ પર હાજર નહોતો. ત્રણેય દરોડા દરમિયાન આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે તેમની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે.
પોરબંદર LCBએ રીક્ષા ચોરને ઝડપ્યો:જુનાગઢમાંથી ચોરાયેલી રીક્ષા સાથે આરોપી પકડાયો
પોરબંદર એલ.સી.બી. ટીમે જુનાગઢમાંથી ચોરાયેલી એક અતુલ કંપનીની નાની રીક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એલ.સી.બી.ના પેટ્રોલિંગ દરમિયાન આ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીનું નામ વીકી બટુકભાઈ મકવાણા (ઉંમર ૩૦, રહે. ખાપટ, પોરબંદર) છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલ.સી.બી. સ્ટાફ ખાપટ રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે શંકાસ્પદ રીતે એક નાની રીક્ષા લઈને આવતો ઇસમ નજરે પડ્યો હતો. પોલીસે તેને અટકાવી રીક્ષાના રજીસ્ટ્રેશન કાગળો અને માલિકીના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને રીક્ષા સાથે આરોપીને પકડી પાડ્યો હતો. આ રીક્ષાની બજાર કિંમત આશરે રૂ. ૫૦,૦૦૦/- અંદાજવામાં આવી છે. વધુ તપાસમાં સામે આવ્યું કે આ રીક્ષા જુનાગઢ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરીના ગુના સાથે સંબંધિત હતી. જુનાગઢ પોલીસે આ અંગે ગુનો નંબર PART A-11203024250864/2025 હેઠળ નોંધ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે રીક્ષા ચોરી કરતી વખતે વીકી મકવાણા સાથે તેનો ભાઈ ઉમેશ બટુકભાઈ મકવાણા પણ જોડાયેલો હતો. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, વીકી બટુકભાઈ મકવાણા અને તેનો ભાઈ ઉમેશ બટુકભાઈ મકવાણા જુનાગઢના સાબર પુલ પાસે આવેલા પુનમ કારખાનામાંથી રીક્ષા ચોરીના પ્રયાસમાં સંડોવાયેલા હતા. આરોપીઓની પૂછપરછ બાદ તેમણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી અને ચોરી અંગે વિગતવાર માહિતી આપી હતી. ચોરીમાં વપરાયેલી રીક્ષાને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવી છે. આ ગુનાની વધુ તપાસ માટે જુનાગઢ બી-ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યા છે અને એક વ્યક્તિને ઇજા થઇ છે. બે પિતરાઈ ભાઈ લગ્નની ખરીદી કરી પરત આવતા હતા, ત્યારે અસલાલી નજીક એકટીવા સ્લીપ થતા મિક્સર ટ્રકનું ટાયર એક યુવક પર ફરી મળતા સારવાર દરમિયાન મુરત થયું હતું. જ્યારે રામોલમાં વૃદ્ધાનુ ટ્રકની અડફેટે મૃત્યુ થતાં ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક્ટિવા પરથી કાબૂ ગુમાવતા બંને રોડ પર પટકાયા હતાઅંગેની વિગત એવી છે કે, સાણંદમાં રહેતા રામજી રબારી અને પિતરાઇ ભાઇ સુજલ રબારીના લગ્ન હોવાથી તે બંને ગત તા. 9 નવેમ્બરે એક્ટિવા લઇને ખરીદી કરવા નિકોલ ગયા હતા. ખરીદી કરીને બંને પરત સાણંદ જતા હતા, ત્યારે સુજલ એક્ટિવા ચલાવતો હતો. બંને અસલાલી ગાય સર્કલ પાસે પહોંચ્યા ત્યારે સુજલે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બંને રોડ પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા મિક્સર ટ્રકનું ટાયર સુજલ પર ફરી વળતા ગંભીર ઇજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સુજલનું મોત નિપજ્યુ હતું. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે મિક્સર ટ્રકચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રામોલમાં ટ્રકની અડફેટે વૃદ્ધાનું મોતજ્યારે રામોલમ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય બેબીબેન વાદી 17મી નવેમ્બરએ કામ અર્થે બહાર ગયા હતા. રાજીવનગર ટેકરાની સામે રિંગ રોડ ક્રોસ કરતા હતા, ત્યારે પૂરઝડપે આવેલા ટ્રકચાલકે ટક્કર મારીને અડફેટે લેતા બેબીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વરણી બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ સમારોહ પૂર્વે મોડાસા કોલેજથી સભાસ્થળ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષને ખુલ્લી જીપમાં બેસાડી સભાસ્થળે લાવવામાં આવ્યા હતા. કાર્યકરોએ 51 હજાર ચોપડા આપી તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત મોડાસામાં બનેલી એમ્બ્યુલન્સ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. તમામ ઉપસ્થિત લોકોએ બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રમુખ તરીકેની પસંદગી બાદ પ્રથમ વખત અરવલ્લી જિલ્લાના પ્રવાસે પહોંચેલા જગદીશ વિશ્વકર્માએ સભાસ્થળે પહોંચી સાધુસંતોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે જાહેરસભામાં પ્રદેશ સંગઠન, કાર્યકર્તાઓની ભૂમિકા અને આગામી વિકાસની દિશામાં સરકારની પ્રતિબદ્ધતા અંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સ્વદેશી અભિયાનનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક અગ્રણીઓ અને શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ રજની પટેલ, પ્રદેશ અગ્રણી ઋત્વિજ પટેલ, રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડા, ધારાસભ્યો ભીખુસિંહ પરમાર અને ધવલસિંહ ઝાલા, તેમજ સાબરડેરીના ચેરમેન શામળ પટેલ સહિત જિલ્લા અને તાલુકા સંગઠનના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં અશાંતધારાના નિયમોનો ભંગ કરી નૂતન સર્વોદય સોસાયટીના મહત્તમ બંગલાઓ હિન્દુ રહીશો દ્વારા લઘુમતી સમાજના વ્યક્તિને વેચવાના વિવાદાસ્પદ મામલે 9 બંગલાઓનો રજિસ્ટર બાનાખત રદ કરી દેવામાં આવ્યો છે અને વેચાણ લેનાર વ્યક્તિને તમામ વેચાણના નાણાં પરત કરવા આદેશ આપવામાં આવ્યો છે. મિલકતનો કબજો પણ આપી દેવા માટે જણાવવામાં આવ્યું છે. કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના નિયમ વિરૂદ્ધ મિલકતોને તબદીલ કરવા બદલ જવાબદાર લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવા માટેની પણ સાબરમતી મામલતદારને જાણ કરવામાં આવી છે. એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દ્વારા પણ આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી. બાનાખત રદ કરવા અને પોલીસ ફરિયાદ અંગેનો નિર્ણય લેવામાં આવતા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. હિન્દુ રહીશોએ લઘુમતી સમાજના વ્યક્તિને રજિસ્ટર્ડ બાનાખત કરવા આપ્યુંઅંગેની વિગત એવી છે કે, પાલડીની નૂતન સર્વોદય સોસાયટીના મહત્તમ બંગલા સ્થાનિક હિંદુ રહીશો ડો. દિલીપ અંબાલાલ મોદી, સ્વ. હર્ષદભાઇ ભાઇશંકર જોષી, અપુર્વ અમૃતભાઇ જાની, કૌશીકાબેન કિરીટભાઇ ત્રિવેદી, રમેશભાઇ લાભશંકર ત્રિવેદી, ગિરીશ મણીભાઇ પટેલ, પ્રફુલચંદ્ર પ્રાણલાલ જેટલી, મુકેશ બળવંતરાય પંચોલી, સુનિતા રમણલાલ વ્યાસ દ્વારા તમામ પોતાની માલિકીના બંગલા લઘુમતી સમાજના મુસ્તુફામીયાં હુસેનમીયાં શેખને વર્ષ 2021માં વેચાણ આપવા માટે રજિસ્ટર્ડ બાનાખત કરવામાં આવ્યું હતું. કલેકટરની કોઈપણ પ્રકારની મંજૂરી લેવાઈ નહોતીઅશાંત ધારો લાગુ પડતો હોવા છતાં પણ કલેકટરની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. આ બાનાખત મામલે વિવાદ થતાં સમગ્ર પ્રકરણને જિલ્લા કલેકટર દ્વારા સુઓમોટો રીટ તરીકે લઇ સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ જવાબદારને નોટીસ આપી સ્પષ્ટતા માગવામાં આવી હતી. જેમાં 2022માં તેમણે આ મકાનો વેચાણ માટે બાનાખત કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. અશાંત ધારા પરવાનગી માટે જે અરજી કરવામાં આવી હતી તે પશ્ચિમ ડેપ્યુટી કલેકટર દ્વારા નામંજૂર પણ કરવામાં આવી હતી. મિલકત વેચનાર જવાબદાર સામે કાર્યવાહી કરવા સૂચનાજેથી નૂતન સર્વોદયના તમામ 9 બંગલાના રજિસ્ટર્ડ થયેલા બાનાખત સિટી ડેપ્યુટી કલેકટર પશ્ચિમ અમદાવાદ દ્વારા રદબાતલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તમામ મિલકતોના જે પણ વળતર ચૂકવણી કરવામાં આવી હતી તે મૂળ માલિકને પરત આપવા માટે અને કબજો છ મહિનામાં આપવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ મંજૂરી વિના મિલકત તકદીર કરનાર શખસો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા તેમજ આ સોસાયટીના વહીવટ અને વ્યવહારો બાબતે પણ તપાસ કરી કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જિલ્લા તાલીમ ભવન ખાતે વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પૂર્વ વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ દરમિયાનના પોતાની જૂની યાદોને વાગોળી હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ભાવવિભોર થઈ ગયા હતા. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 10થી 15 નવેમ્બર દરમિયાન પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન 10 ટીમો વડોદરા જિલ્લામાં પણ પદયાત્રા માટે આવી હતી. તેઓએ વડોદરા જિલ્લાની 136 જેટલી શાળાઓમાં જઇને સ્વાવલંબન અને સ્વદેશીનો સંદેશ પહોંચાડ્યો હતો. આ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન પણ યોજાયું હતું. આ સંમેલનમાં વર્ષ-1976થી લઇને વર્ષ-2024 સુધી અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પદયાત્રાના સંયોજક ડો. શેતલ બરોડિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આગામી 6 અને 7 ડિસેમ્બર-2025 દરમિયાન યોજાનાર ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી અધિવેશનમાં હાજરી આપવા માટે પણ પૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પોરબંદરના ચૂનાના ભઠ્ઠા નજીક આવેલા પેટ્રોલ પંપ વિસ્તારમાં જૂની અદાવતને કારણે મારામારીની ઘટના બની છે. આ ઘટનામાં એક યુવક પર લાકડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, રિયાજ રૂંઝા, સમીર ઉર્ફે ટાર્જન યુસુફભાઈ ગરાણા અને નાદીર ફેજલખાન પઠાણે સમાધાનના બહાને યુવકને બોલાવ્યો હતો. બાદમાં ત્રણેય આરોપીઓએ યુવકને ઢસડીને લાકડાથી હુમલો કર્યો અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં કીર્તિ મંદિર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. યુવક અને તેના મિત્રોના નિવેદનોના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ મારામારી જૂની અદાવતનું જ પરિણામ હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા રિયાજ યુસુફ રૂંઝાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી ઘટનાની વધુ વિગતો મેળવવા માટે પૂછપરછ ચાલી રહી છે. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ માટે પોલીસ ટીમો જુદા જુદા સ્થળોએ રવાના થઈ તપાસ તેજ બનાવી છે. આશરે સાંજે 6 વાગ્યે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને આરોપી સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરવાની દિશામાં તપાસને ગતિ આપી રહી છે.
રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદના ભીમદાડ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારત રત્ન પુરસ્કારના મુદ્દે કોંગ્રેસની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જાડેજાએ જણાવ્યું હતું કે, ગાંધી પરિવારના સભ્યો જેવા કે રાજીવ ગાંધી, ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરુને જીવતા જીવ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, કોઈ પણ કોંગ્રેસી નેતાએ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને આ સન્માન આપવા અંગે ચિંતા કરી ન હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગાંધી પરિવારે અને કોંગ્રેસે ક્યારેય એવું નથી ઈચ્છ્યું કે સરદાર પટેલ જેવા વિરલ વ્યક્તિત્વની નામના સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઉપલબ્ધિ સ્થાપિત કરી શકે. રીવાબા જાડેજાના આ તીખા પ્રહારોએ ફરી એકવાર ભારત રત્ન પુરસ્કાર સંબંધિત રાજનીતિને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.
પોરબંદરમાં વધુ એક કુટણખાનું ઝડપાયું:ચાર શખ્સોની ધરપકડ, બે યુવતીઓને મુક્ત કરાઈ
પોરબંદર પોલીસે છાયા વિસ્તારમાં સત્સંગ ચોક નજીક ચાલતા એક કુટણખાના પર દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન દેહવેપારમાં ફસાયેલી બે યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. ઋતુ રાબા અને પી.આઈ. કાનમીયાની ટીમે ડમી ગ્રાહક મોકલીને આ રેડ કરી હતી. પોલીસે દિલીપ કરશન કારાવદરાના રહેણાંક મકાનમાં ચાલતા આ અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન, મકાન માલિક દિલીપ કરશન કારાવદરા અને અન્ય બે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહક તરીકે આવેલા અસ્ફાક મહમદ સમા નામના શખ્સને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દેહવેપારનો ભોગ બનેલી બે યુવતીઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન અને રોકડા રૂ. 4,400 જપ્ત કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં દેહવેપારની પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદોના આધારે પોલીસે તાજેતરમાં સઘન ચેકિંગ અને દરોડા શરૂ કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ગેરકાયદેસર ધંધાઓ પર અંકુશ લાવવા પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે.
વલસાડ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાન બનાવતી કુખખ્યાત 'જહરખુરાની ગેંગ'ના મુખ્ય રીઢા આરોપીને રાજસ્થાનના જયપુરમાંથી મુદામાલ સાથે પકડી પાડ્યો છે. ફ્રાન્સની BLABLA કાર-શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અપહરણ કરીને ચોરીઓ કરતા હતા. આ ગેંગ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સહિત દેશના 10 રાજ્યોમાં 38થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. આરોપીઓ મુસાફરો સાથે મુસાફરી કરતાઆ કેસમાં ફરીયાદી થાણેથી સુરત માટે BLABLA એપ મારફતે કાર-પૂલિંગની રાઇડ બુક કરી રહ્યા હતા ત્યારે બે શખ્સોએ તેમની સાથે મુસાફરી કરી હતી. પારડી નજીક રામદેવ હોટલમાં જમવાના બહાને ફરીયાદીને નશાયુક્ત પદાર્થ પીવડાવી બેભાન કરીને કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ લઇ જવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરીયાદીનો મોબાઇલ, લેપટોપ, દસ્તાવેજો, ATM–ક્રેડિટ કાર્ડ લઇ કુલ રૂ. 3,49,282નું નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં IPC-2023 કલમ 123, 140(3), 303(2), 54 તથા IT એક્ટ 66(C હેઠળ ગુનો નોંધાયો હતો. જયપુરમાંથી ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયોકેસની ગંભીરતા ધ્યાનમાં લઇ વલસાડ LCBએ અનેક CCTV ફુટેજ, ટેકનિકલ એનાલિસિસ અને માહિતીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન પ્રાપ્ત ખાનગી બાતમીએ આધારે મુખ્ય આરોપી અંકુશ મદનલાલ પાલ (ઉંમર 37)ને જયપુર એરપોર્ટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી રોકડ રૂ. 3,121 અને ત્રણ મોબાઇલ ફોન મળ્યા છે. લૂંટ-અપહરણના 38 ગુના કબૂલ્યાપુછપરછમાં તેણે સ્વીકાર્યું કે તે 'જહરખુરાની ગેંગ'નો સભ્ય છે અને BLABLA તથા અન્ય કાર-શેરિંગ એપ પરથી મુસાફરોને સાથે લઇ નાસ્તા-જમવાના બહાને નશીલા પદાર્થ પીવડાવી, અપહરણ કરી, કાર–મોબાઇલ–કાર્ડ ચોરી કરીને ઓનલાઇન ખરીદી કરતા. ગુનાઓ ગુજરાત, મહારાષ્ટ્ર, MP, UP, દિલ્હી, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં આચર્યા હોવાની કબુલાત આપી છે. આરોપી હાલ પારડી પોલીસ સ્ટેશનના કબજામાં છે અને વધુ સાગરીતોની શોધ માટે તપાસ ચાલુ છે.
તાજેતરમાં ડીજીપી દ્વારા છેલ્લા 30 વર્ષમાં ઝડપાયા હોય તેવા રાષ્ટ્ર વિરોધ પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપીઓની ડોઝિટર કરવા માટે 100 કલાકનું અલ્ટીમેટમ અપાયુ હતું. જેના પગલે CP અને SP દ્વારા ડીસીપી તથા ડીવાયએસપીના આરોપીઓની માહિતી એકત્ર કરવા સાથે આરોપી અગાઉ ક્યારે ક્યાથી ઝડપાયો હતો અને હાલમાં કઇ પ્રવૃતિ કરી રહ્યો છે. તેની વિગતો એકત્ર કરાઇ રહી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં અગાઉ ઝડપાયા હોય તેવા રીઢા આરોપીઓની ડોઝિયરી તૈયાર કરવા માટે તમામ પોલીસ કમિશનર તથા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને આદેશ જારી કર્યાં હતા. આ ઉપરાંત 100 કલાકમાં આરોપીઓની ડોઝિયરી તૈયા કરવા માટેનું અલ્ટી મેટમ આપ્યું હતુ. જેના પગલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા તાત્કાલિક વડોદરા શહેરના 4 ઝોનમાં આવતા ડીસીપીને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી ઝડપાયા હોય તેવા આરોપીઓ અગાઉ ક્યારે કયાથી કયા પ્રકારના ગુનામાં કેટલીવાર ઝડપાયાં હતા, તેની માહિતી એકત્ર કરવાની સુચના આપી હતી. જેના પગલે એલસીબી ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરૂ છે. આ ઉપરાંત ડીસીપી ઝોન -1 જગદીશ ચાવડા અને ડીસીપી ઝોન -2 મંજીતા વણઝારા દ્વારા તેમના ઝોન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે કોમ્બિંગ હાથ ધર્યુ હતું. જેમા તેમના વિસ્તારમાં કેટલાક ગુનાઇત ભુતકાળ ધરાવતા આરોપીઓ છે વસવાટ કરી છે તેની ચકાસણી કરવામાં આવી છે. ત્યારે અન્ય ઝોનના ડીસીપી દ્વારા પણ પોતાના ઝોન વિસ્તારમાં કોમ્બિંગ કરવાની કામગીરી શરૂ કરી દીધુ હોવાનું પણ જાણા મળી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લાની ભૂસ્તર તંત્રની મહિલા અધિકારી સહિતની ટીમે થોડા દિવસો અગાઉ કલોલ તાલુકા વિસ્તારમાં રેતી ચોરીનું ડમ્પર પકડતાં જ કાયદાનો ડર રાખ્યા વિના ભૂમાફિયાઓએ ફિલ્મી ઢબે કારમાં પીછો કરી ટીમને બાનમાં લઈ ધમકીઓ હતી. બાદમાં રૂ.3.23 લાખની 43.44 મેટ્રિક ટન ગેરકાયદેસર રેતીનો જથ્થો ખાલી કરીને ભૂમાફિયાઓ ડમ્પર લઈને ફરાર થઈ જતાં કલોલ તાલુકા પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં મુખ્ય સુત્રધાર જનક જયપ્રકાશ રામાભાઈ પટેલ સહિતની છ ઇસમોની ભૂમાફિયા ગેંગને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ભુસ્તર વિભાગે એક 12 ટાયરનું ડમ્પર પકડ્યું હતુંગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવયાનીબા મહેન્દ્રસિંહ જાડેજા તેમની ટીમ સાથે ગાંધીનગર-છત્રાલ હાઇવે પર રૂટિન ચેકિંગમાં હતા. દરમિયાન તેમણે એસીયન ટ્યુબ્સ પ્રાઇવેટ લીમીટેડના ગેટ પાસે (GJ-02-BT-8650) નંબરનું 12 ટાયરનું ડમ્પર પકડ્યું હતું . જોકે ડમ્પર પાસે રોયલ્ટી પાસ કે આધાર પુરાવા નહોતા. આ પણ વાંચો: ફોર્ચ્યુનર-ક્રેટામાં સવાર માફીયાઓએ મહિલા અધિકારી દેવયાનીબાને ઘેર્યા, ગાળો ભાંડી રેતીનું ડમ્પર છોડાવી ગયા અધિકારીની ટીમને ઉભી રખાવી શેઠ સાથે વાત કરવા જણાવ્યું જેના પગલે ટીમે ડમ્પરનું વજન કરાવતા 43.44 મેટ્રિક ટન સાદી રેતી મળી આવી. આ રેતીચોરી બદલ નિયમ મુજબ રૂ. 3,23,212નો દંડ વસૂલવા માટે ટીમે ડમ્પરને ગાંધીનગર કલેક્ટર કચેરી લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે કલોલ આંબેડકર ત્રણ રસ્તા ઓવર બ્રિજ ઉતર્યા બાદ બે બાઇક પર સવાર ત્રણ ઇસમોએ આવીને ડમ્પર ઊભું રખાવીને 'શેઠ સાથે વાત કરો' તેમ જણાવ્યું હતું. આ સમયે એક લાલ ટી-શર્ટ પહેરેલા ઈસમે સરકારી ગાડી પાસે આવીને મહિલા અધિકારી સહિતની ટીમને ધમકાવી ગાળો બોલી ડમ્પરના ડ્રાઇવરને ગાડી ભગાડી મૂકવા કહ્યું હતું. ફોર્ચ્યુનર-ક્રેટાથી મહિલા અધિકારીને ઘેરી ડમ્પરને ભાગી જવા મદદ કરીભૂસ્તર ટીમે તેનો પીછો શરૂ કર્યો હતો. ત્યારે ફિલ્મી ઢબે માફિયાઓની બ્લેક ફોર્ચ્યુનર (GJ-02-EC-2590) અને સફેદ ક્રેટા (GJ-18-BL-3312) ગાડીઓએ મહિલા અધિકારીની સરકારી ગાડીને આગળ-પાછળથી ધીમી ગતિએ કોર્ડન કરીને ડમ્પરને ભાગી જવામાં મદદ કરી હતી. યુવકે મહિલા અધિકારીને ગાળો ભાંડી જતા રહેવા ધમકી આપીબાદમાં કલોલ સઈજ ગામની સીમમાં લક્ષ્મીનગર સોસાયટી તરફ ખાંચામાં ટીમ પહોચી હતી. તે વખતે એક સફેદ કલરની આઇ 10 ગાડી (GJ-02-RB-0549) ખાંચાના વળાંક ઉપર ઉભી રહી ગઈ હતી અને સતત હોર્ન મારવા છતાં હટી ન હતી. થોડીવાર બાદ આઈ 10 સાઇડમાં થતાં ટીમ આગળ પહોંચે ત્યાં સુધીમાં લક્ષ્મીનગર સોસાયટી ખાતે રેતી ખાલી કરીને ડમ્પર લઈ ડ્રાઈવર નાસી ગયો હતો. બાદમાં એક મેટાલીક ગ્રે કલરની કીયા ગાડીમાંથી એક ઇસમ આવીને સરકારી ગાડીના કાચ ઉપર થપાટો મારી બીભત્સ ગાળો બોલી ત્યાંથી જતા રહેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. આ ઘટનાથી મહિલા અધિકારી સહિતની ટીમ ફફડી ઉઠ્યા હતા. ગુનામાં સંડોવાયેલા 6 ભૂમાફિયાઓની ધરપકડઆ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી ભૂમાફિયાઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. આ અંગે કલોલ તાલુકા પીઆઇ આર. આર. પરમારે જણાવ્યું કે, ઉપરોક્ત ગુનામાં મુખ્ય સુત્રધાર જનકભાઈ જયપ્રકાશભાઈ રામાભાઈ પટેલ (ઉ.વ 35, રહે લાયબ્રેરી વાસ, મેડા આદરજ તા.કડી જી.મહેસાણા) તેની ગેંગના સાગરીતો હેતાજી લેબાજી બાજુજી ઠાકોર (ઉ.વ 38,રહે હનાવાડા ગામ તા.હારીજ), હર્ષ જીતેન્દ્રકુમાર જોયતારામ પટેલ (ઉ.વ 29 રહે ગંજપીરવાસ, મેડા આદરજ ગામ તા.કડી), દિવ્યાંગ ભરતભાઈ કેશવલાલ પટેલ (ઉ.વ 30 રહે આશ્રમવાસ, મેડા આદરજ ગામ તા.કડી), જાહીદ આસમભાઈ કરીમભાઈ ખોખર (ઉ.વ 32 ઠાકોરવાસ, ચામુંડા માતાના મંદિરની પાસે, ઈરાણા ગામ તા. કડી) તેમજ સુનિલજી ભગાજી શકરાજી ઠાકોર (ઉ.વ 25 ઠાકોરવાસ, ચામુંડા માતાના મંદિરની પાસે, ઈરાણા ગામ તા. કડી)ની ધરપકડ કરી લેવાઈ છે. આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ આઈવા ડમ્પર, ફોર્ચ્યુનર ગાડી, ક્રેટા ગાડી, બે બાઇક, મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 35.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભૂસ્તર તંત્રએ ડમ્ફર પકડ્યું એ દિવસે આ ગેંગના મુખ્ય સુત્રધાર જનક પટેલે તેની ગેંગના માણસોને ફોન કરીને ગાડીઓને રોકવાની સૂચના આપી બોલાવી લીધા હતા. આ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે.
રાજકોટ સમાચાર:વોર્ડ નં.13માં નવલનગર અંબાજી કડવા પ્લોટમાં નવી નક્કોર ડીઆઈ પાઇપ લાઇનમાં પણ ભંગાણ
રાજકોટનાં વોર્ડ નંબર 13માં આવેલા નવલનગર અને અંબાજી કડવા પ્લોટ સહિતના વિસ્તારમાં મહાપાલિકા દ્વારા નાખવામાં આવેલી નવી નક્કોર DI પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો પુષ્કળ વેડફાટ થયો છે. આ બાબતે વોર્ડ નં.13ના કોંગ્રેસના ભુતપુર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ. કમિશનરને આવેદન આપીને રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે,વોર્ડ નં.13માં અંબાજી કડવા પ્લોટ, સ્વામિનારાયણ ચોક આનંદ બંગલા ચોક સુધીના વિસ્તારોમાં અવારનવાર ડીઆઇ લાઇન તૂટે છે. પાઇપલાઇન તુટવાથી પાણીનો પુષ્કળ વેડફાટ થાય છે. જોકે મહાનગરપાલિકા દ્વારા ડીઆઇ પાઇપલાઇનને કારણે ભંગાણ અટકવાનો અને પાણીનો વેડફાટ નહીં થવાનો દાવો કરવામાં આવે છે, ત્યારે આ વિસ્તારોમાં નવી નક્કોર ડીઆઇ પાઇપલાઇનમાં અવાર નવાર ભંગાણ થઇ રહ્યું હોય આ બાબતે અધિકારીઓને સુચના આપી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની તેમજ કોન્ટ્રાક્ટરોના કામ પર નજર રાખવાની માંગણી તેઓએ કરી છે. સફાઈ કામદારનું શોષણ કરનાર મનપાનાં કોન્ટ્રાકટર જી. ડી. અજમેરા સામે ગુનો નોંધવા માંગ રાજકોટમાં સફાઈ કામદારનું શોષણ કરનાર મનપાનાં કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા સામે ગુનો નોંધવાની માંગ સાથે કામદાર યુનીયન દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું હતું. રાજકોટના કામદાર યુનીયનના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું હતું કે, મહાપાલિકાના કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા દ્વારા અનુસુચિત જાતી સમાજના સફાઈ કામદારો સાથે છેતરપીંડી, શોષણ તથા કાયદેસર હકોથી વંચિત રાખવામાં આવે છે. આ કારણે ગરીબ સફાઈ કામદારો આર્થિક નુકશાન તથા કાયદેસર હકક્કોથી વંચિત થવુ પડયુ છે. જેમાં લઘુતમ વેતન આપવામાં આવતુ નથી. કાયદેસર ફરજ મુજબ વેતન બેંક ખાતામાં જમા કરવાને બદલે કવરમાં રોકડ ચુકવણી કરવામાં આવે છે. પી.એફ. કપાયા હોવા છતાં સફાઈ કામદારના ખાતામાં જમા નથી થયા તેમજ કામદારોને બોનસ આપવામાં આવ્યુ નથી. જેથી કોન્ટ્રાકટર સફાઈ કામદારોની અશિક્ષિતાનો લાભ લઈ છેતરીપંડી કરી રહ્યા છે. જેથી એજન્સી ઉપર મજુર કાયદા મુજબની વિવિધ કલમો અને એટ્રોસીટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી અમારી માંગ છે. શુક્રવારે રૂડાની બોર્ડ બેઠક યોજાશે, ત્રણ ટીપી સ્કીમના વાંધા-સૂચનો પર લેવાશે નિર્ણય રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (R.U.D.A.)ની બોર્ડ બેઠક આગામી શુક્રવારે મળવા જઈ રહી છે, જેમાં વાજડીગઢ-વેજાગામની ટીપી સ્કીમ નંબર 80, 81, અને 82 ને ફાઇનલ કરવાની મુખ્ય દરખાસ્ત રજૂ કરાશે. આ ત્રણેય ટીપી સ્કીમના મુત્સદા જાહેર થયા બાદ જમીન માલિકો તરફથી જે વાંધા-સૂચનો મળ્યા છે, તેની મુદત પૂરી થતાં આ તમામ વાંધા અરજીઓનો નિકાલ કરવા માટે બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. નિર્ણય બાદ જરૂરી સુધારા સાથે આ ત્રણેય ટીપી સ્કીમને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. સાથે રૂડા દ્વારા રાજકોટ મનપાની હદમાં ભળેલા નવા વિસ્તારો તેમજ શહેરને જોડતા વિસ્તારોમાં રોડ-રસ્તા જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે નવી ટીપી સ્કીમોનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ ટૂંક સમયમાં રૂડા વિસ્તારમાં 40થી વધુ નવી ટીપી સ્કીમ તૈયાર કરી અમલમાં મૂકાય તેવી શક્યતા છે. રાજકોટમાં 27 વર્ષ જૂના પ્લોટ ફાળવણીના પ્રશ્નનો ઉકેલ લાવવા મુખ્યમંત્રીને રજૂઆત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 1997-98માં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં 27 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. અરજદારો મુકેશકુમાર વાઘેલા અને જયાબેન વાઘેલા સહિતના લાભાર્થીને ડ્રોમાં પ્લોટ નંબર 161 અને 162 ફાળવવામાં આવ્યા હતા. જનરલ બોર્ડના ઠરાવ નંબર 5 (તારીખ 13/4/1998) મુજબ 800/- રૂ. પ્રતિ ચો.મી.ના ભાવે વેચાણ કરવાનું ઠરાવેલું, પરંતુ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ (GPMC Act 1949)ની કલમ 79/D મુજબ રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. આ પ્રક્રિયામાં શહેરી વિકાસના ઉપસચિવ આર. પી. પટેલ દ્વારા 23/2/2017ના રોજ RMC કમિશનરને પત્ર પાઠવી માત્ર 3 દિવસમાં વિગતોની સ્પષ્ટતા માંગવામાં આવેલી. જોકે, RMCનો દાવો છે કે તેમણે 18/4/2017ના રોજ જવાબ આપી દીધો છે, જ્યારે શહેરી વિકાસના જાહેર માહિતી અધિકારીએ 22/9/2023ના RTI જવાબમાં જણાવ્યું છે કે પત્રનો જવાબ મળ્યો નથી. આ વિસંગતતાને કારણે અરજદારો દસ્તાવેજથી વંચિત છે.ત્યારે હવે મ્યુ. હુડકો મહામંડળના ચેરમેન દાનુભા સોઢા સહિતનાઓએ તા. 22 નવેમ્બરે મુખ્યમંત્રી રાજકોટ મહાનગર પાલિકાના કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના હોય આ 27 વર્ષ જૂના પ્રશ્નનો ઉકેલ લાવી અધિકારીઓને તાત્કાલિક દસ્તાવેજ બનાવી આપવા સૂચના આપવા માંગ કરી છે.
અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા વિધાનસભા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાને લુણાવાડાના ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતેથી પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ પદયાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રેરક અવસર છે. તેમણે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અજોડ યોગદાનને યાદ કર્યું હતું. મંત્રીએ કહ્યું કે, ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોને ન્યાય અપાવ્યા બાદ તેમનું સૌથી મોટું કાર્ય આઝાદી સમયે ૫૬૨ જેટલા રજવાડાંને એક દોરામાં પરોવીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો સરદાર સાહેબ ન હોત તો આજે ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોત, તેથી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના મૂળમાં સરદાર સાહેબની આ રાષ્ટ્રીય એકતાની ભેટ જ છે. પ્રભારી મંત્રી બરંડાએ પદયાત્રાના સંદેશ વિશે વાત કરતા જણાવ્યું કે, આ રાષ્ટ્રીય પર્વ દ્વારા આપણે સરદાર સાહેબના આદર્શો જેવા કે સ્વચ્છતા, સંગઠન અને સાદગીને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ લઈએ. તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને અપીલ કરી કે, જે રીતે સરદાર સાહેબે દેશને ભૌગોલિક રીતે એક કર્યો, તે જ રીતે આપણે પણ જાતિ, ધર્મ અને પ્રાંતના ભેદભાવ ભૂલીને, આપણા હૃદયને 'રાષ્ટ્રીય એકતા'ના તાંતણે બાંધીશું અને ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પમાં કોઈ કસર નહીં છોડીએ. આ યાત્રા લુણાવાડા ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતેથી શરૂ થઈ હતી. મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા બાદ તેઓ પણ પદયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ મહિલા ચોંકી સર્કલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આગળ પ્રસ્થાન કર્યું હતું. આ યાત્રા કોઠા, પ્રાણનાથજી મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે મંત્રી પી. સી. બરંડા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે લોકોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક સફીન હસન, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી દશરથભાઈ, તાલુકા પંચાયત પ્રમુખો સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
''એક સાવ ખોટી અવધારણા છે કે જેને સુસાઈડ બોમ્બિંગ કહેવાય છે પણ હકીકતે તે આને ઈસ્લામમાં શહાદતનું ઓપરેશન કહે છે. શહાદતના ઓપરેશન સામે ઘણી દલીલો કરવામાં આવે છે. લોકો સમજી શકતા નથી કે આત્મઘાતી હુમલા હકીકતમાં છે શું. તેની સામે ઘણા વિરોધભાસ અને ઘણા તર્ક છે. આત્મઘાતી હુમલાની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે એક વ્યક્તિ માની લે છે કે તે ખરેખર મરવાનો જ છે. ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે. તો તે એક ખતરનાક માનસિક સ્થિતિમાં પહોંચી જાય છે. તે પોતાને એવી જગ્યાએ ઊભો કરી દે છે, જ્યાં તેને લાગે છે કે મોત જ તેની આખરી મંઝિલ છે. પણ સત્ય એ છે કે એવી વિચારસરણી અને પરિસ્થિતિ કોઈપણ લોકતાંત્રિક અને માનવીય વ્યવસ્થામાં સ્વીકાર નથી થતી. '' - આ શબ્દો છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ કરીને આત્મઘાતી હુમલો કરનાર ડો. ઉમર મોહમ્મદ નબીના. NIAએ આતંકીનો એક વીડિયો રિલિઝ કર્યો છે. જેમાં તે બ્લાસ્ટ પહેલાં સૂસાઈડ બોમ્બર બનવું ખરાબ નથી તેવી વાતો કરે છે. હકીકતે આવા વીડિયો જ બીજા યુવાનોના બ્રેન વોશ કરવા બનાવાય છે. નમસ્કાર, દિલ્હી બોમ્બ બ્લાસ્ટ થયા ને દસ દિવસ થવા આવશે. આ દસ દિવસમાં ચાર રાજ્યોની પોલીસ, NIA, ATS, ગુપ્તચર એજન્સીઓ આકાશ પાતાળ એક કરીને સંખ્યાબંધ કડીઓ શોધી કાઢી છે. આ ઘટનામાં 8 ડોક્ટર આતંકી અને 2 મૌલાના મળીને 12થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસ એજન્સીઓની પૂછપરછમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ખુલાસો તો એવો થયો છે કે આ આતંકીઓ ભારતમાં ડ્રોન અને રોકેટથી હુમલો કરવા માંગતા હતા. આ આખા મોડ્યુલનો ઓપરેટર હતો - આત્મઘાતી બોમ્બર ડોક્ટર ઉમર નબી. 8 ડોક્ટર અને 2 મૌલાનાનો સ્લિપર સેલ ભારતમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ડોક્ટર્સ અને મૌલવીઓનું આતંકનું મોડ્યુલ સામે આવ્યું છે. જે જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી સુધી ફેલાયેલું છે. અત્યાર સુધી 8 ડોક્ટર, 2 મૌલાના સહિત 12થી વધુની ધરપકડ થઈ ચૂકી છે. આ દરેક આતંકી સ્લિપર સેલ તરીકે કામ કરે છે. પાકિસ્તાનથી જૈશ-એ-મોહમ્મદ આદેશ આપે એટલું જ કામ કરવાનું. સ્લિપર સેલના 10 ખતરનાક આતંકી ડો. દાનિશની ધરપકડ પછી નવા ઘટસ્ફોટ થયા દિલ્હી આતંકી હુમલાની તપાસ દરમિયાન સોમવારે (17 નવેમ્બર) રાત્રે મોટો ખુલાસો થયો. NIAએ જણાવ્યું હતું કે વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ શરૂઆતમાં ડ્રોન અને રોકેટનો ઉપયોગ કરીને હમાસ પેટર્નનો હુમલો કરવાનો ઇરાદો ધરાવતું હતું. આ યોજના 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા પછી બનાવવામાં આવી હતી. આત્મઘાતી બોમ્બર ડો. ઉમર નબીના અન્ય સહયોગી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ બાદ NIAને આ માહિતી મળી હતી. દાનિશ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી છે. NIAએ ચાર દિવસ પહેલાં તેની શ્રીનગરથી તેની ધરપકડ કરી હતી. NIAના જણાવ્યા અનુસાર, દાનિશને નાના ડ્રોન હથિયારો બનાવવાનો તેમાં ફેરફારનો ટેકનિકલ અનુભવ છે. તેણે ડો. ઉમરને ટેકનિકલ સહાય પૂરી પાડી હતી અને આતંકવાદી હુમલા માટે ડ્રોન અને રોકેટ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે દાનિશ ભીડવાળા વિસ્તારોમાં ડ્રોનથી બોમ્બ ફેંકવાની યોજના બનાવી રહ્યો હતો. ડો. ઉમર પર જ હતી સિરિયિલ બ્લાસ્ટની જવાબદારી બોમ્બ ધડાકાથી શરૂ થયેલી વાત હવે આતંકી હુમલામાં બદલાઈ ચૂકી છે. એક ડઝન જેટલા ડોક્ટર્સ આતંકી ઝડપાયા છે, તેની પાસેથી જે ખુલાસા થયા છે, તેમાં એ સામે આવ્યું છે કે આ આતંકીઓ ઓપરેશન સિંદૂર, બાબરી મસ્જિદ, રામ મંદિર અને કાશ્મીરથી કલમ 370 હટાવી તેનો બદલો લેવા માગતા હતા. એટલે આ આતંકીઓ આવનારી 6 ડિસેમ્બરે 4 જગ્યાએ ધડાકા કરવા માગતા હતા. 6 ડિસેમ્બર 1992ના દિવસે બાબરી મસ્જિદ ધ્વંશ થઈ તેના બદલામાં આતંકીઓ સિરિયલ બ્લાસ્ટ કરવા માગતા હતા. સિરિયલ બ્લાસ્ટ કરવાની જવાબદારી ડો. ઉમર મોહમ્મદ નબી પર હતી. જે લાલ કિલ્લા પાસે થયેલા ધડાકામાં માર્યો ગયો છે. અત્યાર સુધી આમાં બે ઈમામ પણ પકડાઈ ચૂક્યા છે. જેમાં મૌલાના ઈશ્તિયાક જે અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી મસ્જિદમાં ઈમામ છે. બીજો છે મૌલાના ઈરફાન અહેમદ જેને જમ્મુ-કાશ્મીરના સોપિયાથી પકડી લેવામાં આવ્યો છે. 8 ડોક્ટરો સાથે આ બંને ઈમામ સંપર્કમાં હતા. આ સ્લિપર સેલનું મોટું નેટવર્ક હતું. આ સ્લિપર સેલમાં 6 ડોક્ટર તો અલ ફલાહ યુનિવર્સિટીમાંથી છે. અત્યાર સુધીમાં 8 ડોક્ટર અને બે મૌલવીઓ અને ચાર સાથીઓ જે શકમંદો છે, તેની ધરપકડ થઈ ચૂકી છે. આઠ ડોક્ટરનાં ચાર ગ્રુપ બ્લાસ્ટ કરવાના હતા ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં એવી વાત બહાર આવી છે કે 2-2 આતંકવાદી ડોક્ટર મળીને 4 ગ્રુપ બનાવવાના હતા. એટલે 8 ડોક્ટરમાંથી બે-બે આતંકી અલગ પડીને ચાર ગ્રુપમાં ચાર શહેરોમાં જવાના હતા. એક ગ્રુપ પોતાની પાસે સંખ્યાબંધ બોમ્બ રાખવાના હતા. આ આતંકી હુમલો કરવા માટે ડોક્ટરોએ 20 લાખ રૂપિયા રોકડા ભેગા કર્યા હતા. આ રૂપિયા ડો. ઉમર નબી પાસે હતા. એનો મતલબ એવો કે ડો. ઉમર જ આ હુમલાના ફંડિંગને સંભાળતો હતો. ડો. ઉમર નબી, ડો. આદિલ રાથર અને ડો. શાહીન સઈદે 3 લાખ રૂપિયામાં 2 હજાર કિલો NPK કેમિકલ એટલે ફર્ટિલાઈઝર ખરીદ્યું હતું. NPK એટલે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. જૈશના કમાન્ડર બ્રેઈન વોશ કેવી રીતે કરે છે? તપાસ એજન્સીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે જૈશના કમાન્ડરો ભારતમાં કેટલાક મૌલાનાઓને આ જવાબદારી આપે છે. મૌલાનાઓ પહેલાં ધર્મનો આધાર લે છે. તે એવું કહે છે કે ભારતમાં ઈસ્લામ ખતરામાં છે. ભારતમાં મુસલમાન ખતરામાં છે. માટે તમારી જવાબદારી છે કે તમે આને બચાવો. બીજું કારણ આપે છે- બદલો. તેને પરિવારની વાતો કરીને ઈમોશનલ બ્લેકમેઈલ કરે છે. તું ભારતમાં ઈસ્લામ બચાવવાનું કામ કરીશ ને શહીદ થઈશ તો તારો પરિવાર સુખી થશે. તેને અમે કરોડો રૂપિયા આપીશું. બંગલામાં રાખીશું. બીજું, જે ડોક્ટર અલ-ફલાહ યુનિવર્સિટીમાં હતા ત્યાંની ફી તગડી છે. પુલગામ કે સોપિયા જેવા પછાત વિસ્તારમાં રહેતા યુવાનો મેડિકલનું ભણવા જાય તો તેને ચિંતા રહે છે કે ડોક્ટર બનવા માટે 1 કરોડ જોઈએ. એ ક્યાંથી કાઢીશું? બીજું, ડોક્ટર બની ગયા પછી 1 કરોડ ક્યારે ભેગા થઈ શકશે? આ ચિંતા પણ યુવાનોને ખોટા રસ્તે વાળે છે. ડો. ઉમરને આતંકી બનવા કોઈએ બ્રેન વોશ નહોતું કર્યું તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, સામાન્ય રીતે કોઈ યુવાનને આતંકી બનાવવા બ્રેન વોશ કરવું પડે છે અને તેને આતંક તરફ વાળી શકાય છે. પણ ડો. ઉમરનું કોઈએ બ્રેન વોશ નહોતું કર્યું. તે 2018માં જ જૈશ-એ-મોહમ્મદ સાથે આપમેળે જ જોડાઈ ગયો હતો. જૈશના કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપમાં તે મેસેજ વાંચ્યા કરતો. 2023 સુધી તે જૈશની વિચારધારામાં ભળી ગયો. 2023માં તેણે સામેથી જૈશના કમાન્ડરનો સંપર્ક કરીને કહ્યું કે હું જૈશ માટે કામ કરવા માગું છું. ઉમર જેવા લોકો સાયલન્ટ આતંકવાદી છે. બહારથી કોઈને ખબર ન પડે. હોંશિયાર ડોક્ટર જ લાગે, પણ અંદરથી તો તેની વિચારધારા ખતરનાક હતી તે કોઈને જણાવવા ન દે. સિગ્નલ એપ પર ડો. ઉમર નબીએ ગ્રુપ બનાવ્યું હતું એજન્સીઓની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ટેલિગ્રામ જેવી એક એપ્લિકેશન છે, સિગ્નલ એપ. તેમાં એક ગ્રુપ બનાવ્યું હતું. સિગ્નલ એપ વિદેશી છે. તેના પર મોકલેલા મેસેજ ટ્રેક કરવા મુશ્કેલ હોય છે. આ એપ પર મોકલેલા મેસેજ પોતાની મેળે જ ડિલિટ થઈ જાય છે. એટલે પુરાવા બચતા નથી. બીજું, ઉમરે નવા યુવાનો તૈયાર કરવા અને તેનું બ્રેન વોશ કરવાના ઈરાદાથી ટેલિગ્રામ ચેનલમાં ત્રણ-ચાર ગ્રુપ બનાવ્યા હતા. આ ગ્રુપમાં જે-જે વ્યક્તિ એડ થયા છે તે તમામની ઓળખ કરીને પૂછપરછ થવાની છે. કોણ હતો આતંકી ઉમર નબી? ડોક્ટર ઉમર મોહમ્મદ નબીનું કોઇલ ગામ પુલવામા જિલ્લામાં છે. દક્ષિણી કાશ્મીરમાં રાજધાની શ્રીનગરથી 35 કિલોમીટર દૂર. ગામમાં લગભગ 800 પરિવારો છે. મોટાભાગના લોકો ખેતી અને બાગાયત કરે છે. ઉમરના પિતરાઈ ભાઈ વસીમ અહંગરે મીડિયાને કહ્યું હતું કે, 'ઉમર વિશે જે વાતો થઈ રહી છે, તે ખૂબ જ ચોંકાવનારી છે. મને નથી લાગતું કે કારમાં ઉમર હોય.' વસીમ જણાવે છે કે ઉમરના પરિવારે ખૂબ તકલીફો જોઈ છે. ઉમરના અબ્બુ ગુલામ નબી બટ શિક્ષક હતા. લગભગ 20 વર્ષ પહેલાં ગુલામ માનસિક રીતે બીમાર થઈ ગયા. તે પછી તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. પરિવાર પાસે કોઈ ખેતર નહોતું. ઉમરનો જન્મ 1993નો છે. એક મોટો ભાઈ છે, જે પ્લમ્બરનું કામ કરે છે અને એક નાનો ભાઈ હજી ભણે છે. એક બહેન પણ છે, જેના લગ્ન થઈ ચૂક્યા છે. અબ્બુની નોકરી છૂટ્યા પછી ઉમરની અમ્મી શમીમાએ ઉમરના ભણતરની જવાબદારી ઉપાડી. તેમણે નાના-મોટા કામ કર્યા. સંબંધીઓ પાસેથી મદદ લીધી. ઉમરની દેખરેખ માટે તેમણે ઘરનો સામાન પણ વેચી દીધો. ઉમરને નોકરી લાગ્યા પછી ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરી. ઉમરે ઘરનું રિનોવેશન કરાવ્યું. શ્રીનગરની જ એક છોકરી સાથે ઉમરની સગાઈ થઈ હતી અને થોડા જ સમયમાં લગ્ન થવાના હતા. અનંતનાગમાં ડોક્ટર હતો, પછી અલ-ફલાહ યુનિવર્સિટી જોઈન કરી દિલ્હી બ્લાસ્ટની શરૂઆતના તપાસ રિપોર્ટમાં લખ્યું છે કે ડો. ઉમર નબી મેડિકલનો અભ્યાસ કરવાની સાથે અનંતનાગમાં સરકારી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. નોકરી કરતી વખતે ડો. ઉમર ટેલિગ્રામ એપ.થી પાકિસ્તાની આતંકીઓ અને પુલવામામાં હાજર સ્થાનિક હેન્ડલર્સના સંપર્કમાં આવ્યો. ગ્રુપ દ્વારા પાકિસ્તાની લોકો સાથે વાતચીત શરૂ કરી. શરૂઆતમાં 'કાશ્મીરની આઝાદી' અને કાશ્મીરીઓના અવાજ દબાવવાના કથિત મુદ્દાઓ પર વાત થતી હતી, પછીથી ગ્લોબલ જિહાદ અને બદલો લેવા જેવા મુદ્દા પર વાત થવા લાગી. અનંતનાગની સરકારી હોસ્પિટલના નિવૃત્ત ડોક્ટર અને પ્રોફેસર ડો. ગુલામ જિલાનીએ મીડિયાને કહેલું કે, શરૂઆતથી જ ઉમર વિરુદ્ધ ફરિયાદો મળવા લાગી હતી. ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓ સુદ્ધાંએ આક્ષેપ લગાવ્યા કે ઉમર અસભ્યતાથી વાત કરતો હતો. બેદરકાર હતો અને અવારનવાર હોસ્પિટલમાંથી ગાયબ રહેતો હતો. એક ગંભીર બીમાર દર્દીની ઉમરની દેખરેખમાં સારવાર ચાલી રહી હતી. ઉમર અચાનક ડ્યુટી પરથી ગાયબ થઈ ગયો. આ દરમિયાન દર્દીની હાલત બગડી અને તેનું મોત થઈ ગયું. સમિતિએ ઘણીવાર ઉમરને પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવ્યો પરંતુ તે ન આવ્યો. તે પછી તેને છૂટો કરી દેવામાં આવ્યો અને તેણે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી જોઈન કરી લીધી. અલ-ફલાહ યુનિવર્સિટી : આંતકવાદનો અડ્ડો હરિયાણાના ફરીદાબાદની આ યુનિવર્સિટીની ભારે ચર્ચા છે. પકડાયેલા 8 આતંકી ડોક્ટરમાંથી 6 તો આ યુનિવર્સિટીના હતા. એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીએ અલ-ફલાહ યુનિવર્સિટીની મેમ્બરશિપને રદ્દ કરી નાખી છે. હવે આ આતંકની પ્રયોગશાળા બની ગઈ છે. મેડિકલ, એન્જિનીયરિંગ,લો અને ઘણી ફેકલ્ટી અહિ છે. આ યુનિવર્સિટીને 2014માં ભૂપેન્દ્ર હુડાની સરકારે માન્યતા આપી હતી. 2015માં UGCએ માન્યતા આપી હતી. 2019માં અહિ MBBS કોર્સ શરૂ થયો હતો. હવે વિચારો જે સ્ટુડન્ટ 1 કરોડ રૂપિયા ખર્ચીને MBBS કરે છે અને તેને ભણાવનારા પ્રોફેસર દેશમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન કરી રહ્યા છે તો આ સ્ટુડન્ટના મન પર કેવી અસર થઈ હશે. હવે ED આ યુનિવર્સિટીના આર્થિક ફંડની તપાસ કરી રહી છે. ED અને NIA એ અલ-ફલાહ યુનિવર્સિટીના નાણાકીય અને વહીવટી વડાઓની પૂછપરછ કરી છે. તેમણે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. ED ટીમ હજુ પણ યુનિવર્સિટીની અંદર તપાસ કરી રહી છે. અલ-ફલાહ યુનિવર્સિટી કે એજ્યુકેશન 'સિટી'!! અલ-ફલાહ ટ્રસ્ટમાં ગોટાળાનો પાર નથી અલ-ફલાહ યુનિવર્સિટીની સાથે અલ-ફલાહ ટ્રસ્ટ અને બીજી કેટલીક કંપનીઓ ચાલી રહી છે. અલ-ફલાહ ટ્રસ્ટ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓની તપાસ ચાલુ છે. કારણ કે આ ટ્ર્સ્ટ જ યુનિવર્સિટીનું સંચાલન કરે છે. નાણાં અને વહીવટ માટે જવાબદાર મુખ્ય વ્યક્તિઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રસ્ટ સાથે જોડાયેલી નવ જેટલી શેલ કંપનીઓ એક જ સરનામે નોંધાયેલી છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં અનેક શંકાસ્પદ સંસ્થાઓનો ખુલાસો થયો છે. જેમાં, ડોક્ટરનું એક નહિ, અનેક મોડ્યુલ હોઈ શકે જમ્મુ-કાશ્મીરના સિનિયર પત્રકાર સૈયદ જુનૈદ હાશ્મી કહે છે, 'હજી માત્ર એક ગ્રુપ પકડાયું છે. કાશ્મીરમાં 'વ્હાઇટ કોલર જિહાદ' નવો નથી. કાશ્મીરમાં મોટી સંખ્યામાં ભણેલા-ગણેલા લોકો કટ્ટરપંથી અને અલગતાવાદી વિચારસરણીના છે. મેં થોડા દિવસ પહેલાં અનંતનાગની સરકારી હોસ્પિટલના કેટલાક ડોક્ટર્સનો ઇન્ટરવ્યૂ કર્યો. તેમના સવાલોથી નારાજ ડોક્ટર્સે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાફિર અને ગદ્દાર લખવાનું શરૂ કરી દીધું. આતંકી ડો. આદિલ અનંતનાગનો સૌથી જાણીતો ડોક્ટર હતો, પરંતુ કટ્ટરપંથી વિચારસરણીને કારણે જે મહિલા બુરખામાં ન આવે તેવી મહિલાઓની સારવાર કરવાની ના પાડી દેતો હતો. સૈયદ જુનૈદ કહે છે કે, આ તો એક મોડ્યુલ પકડાયું છે. બની શકે કે ડોક્ટર્સના જ અનેક મોડ્યુલ હોઈ શકે. છેલ્લે, દિલ્હીમાં ડિફેન્સ ટોક હતી. જેમાં દેશના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બે-ત્રણ અગત્યની વાતો કરી. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર 88 કલાકનું ટ્રેલર હતું. પાકિસ્તાન ફરી તક આપશે તો જવાબ વધુ કડક હશે. હવે એવું નથી રહ્યું કે આર્મી જ યુદ્ધ લડે. ત્રણેય પાંખ ઉપરાંત સાયબર, સેટેલાઈટ બધાએ એક્ટિવ થઈને એકસાથે હુમલો કરવો પડે. કારણ કે આ ફિફ્થ જનરેશનનું યુદ્ધ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
હિંમતનગર સિવિલમાં સાંસદે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા:જોધપુર અકસ્માતમાં ઘાયલ દર્દીઓની મુલાકાત લીધી
જોધપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને હિંમતનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત ત્રણ દિવસ પહેલા રાજસ્થાનના જોધપુર નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો હતો, જેમાં ટેમ્પો ચાલક સહિત છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જોધપુરથી લાવવામાં આવેલા ઇજાગ્રસ્તો પૈકી ત્રણ દર્દીઓ હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે, જ્યારે બે દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક દર્દી સામાન્ય ઇજાઓને કારણે હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પરત ફર્યા છે. આ અકસ્માત રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે 125 પર રવિવારે સવારે ખારીબેડી ગામ નજીક થયો હતો. મૃત્યુ પામેલા છ શ્રદ્ધાળુઓમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂગનાથપુરા ગામના ચાર અને સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના ટેમ્પો ચાલક સહિત બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ મૃતકોના સોમવારે તેમના વતન રૂગનાથપુરા અને પુંસરી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મંગળવારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે સારવાર હેઠળના દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને તેમના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી. સાંસદે સિવિલ હોસ્પિટલના RMO પાસેથી દર્દીઓની તબિયત અંગેની માહિતી મેળવી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, સોમવારે જોધપુરથી છ ઇજાગ્રસ્ત દર્દીઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ દર્દીઓ હિંમતનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક દર્દીને સામાન્ય ઇજાઓ હોવાથી અને અંતિમવિધિમાં હાજરી આપવા માટે તેઓ ઘરે પરત ફર્યા હતા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં 8 વર્ષીય ગૌરીબેન કાળુસિંહ પરમાર (રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી) ઓર્થોપેડિક વિભાગમાં, પ્રિયાબેન કાળુસિંહ પરમાર (રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી) સર્જિકલ ICU વિભાગમાં અને 6 વર્ષીય ઉમાબેન કાળુસિંહ પરમાર (રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી) ફીમેલ સર્જિકલ વિભાગમાં દાખલ છે. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષીય વિરાબેન કાળુસિંહ પરમાર (રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી) અને 65 વર્ષીય અળખુંબેન પરમાર (પુંસરી, તલોદ, સાબરકાંઠા) સારવાર હેઠળ છે. કાળુસિંહ હિંમતસિંહ પરમાર (30, રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી)ને સામાન્ય ઇજાઓ હોવાથી તેઓ અંતિમવિધિ માટે ઘરે ગયા હતા.
વડોદરાના 10 વર્ષના અંશ શાહે 5 મિનિટમાં 15 મંત્ર અને સ્તુતિઓ ગાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા તેને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા છે. હાલમાં ધોરણ-5માં અભ્યાસ કરતા અંશે ખૂબ જ નાની ઉંમરથી જ અસાધારણ શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવ્યું છે. તેના પ્લેગ્રુપના દિવસોથી ધોરણ 4 સુધી તે શૈક્ષણિક રીતે અને વિવિધ સ્પર્ધાઓમાં સક્રિય ભાગીદારી દ્વારા સતત તેના વર્ગમાં ટોચ પર રહ્યો છે. તેણે વિજ્ઞાન અને ગણિત ઓલિમ્પિયાડ્સમાં અનેક મેડલ મેળવ્યા છે, અને તેની સિદ્ધિઓમાં ધોરણ 4માં SOF હિન્દી ઓલિમ્પિયાડમાં *આંતરરાષ્ટ્રીય ક્રમ 2 મેળવવો શામેલ છે. નવેમ્બર 2025માં તેણે કેનકેન ગણિત ઓલિમ્પિયાડ - રાજ્ય સ્તરનો રાઉન્ડ પાસ કર્યો હતો અને રાષ્ટ્રીય રાઉન્ડ માટે તૈયારી કરી હતી અને તાર્કિક વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ કરવામાં તેની મજબૂત ક્ષમતા દર્શાવી હતી. તેણે 2 વર્ષની ઉંમરે નાના શ્લોકોનો જાપ કરવાનું શરૂ કર્યું અને 3 વર્ષની ઉંમરે સંપૂર્ણ હનુમાન ચાલીસા અસ્ખલિત રીતે વાંચી શકતો હતો. શાળાના કાર્યક્રમોમાં અંશને હંમેશા વિવિધ શ્લોક અને મંત્રો સાથે ઉદ્ઘાટન સમારોહ માટે પસંદ કરવામાં આવે છે, અને તાજેતરમાં, તેણે ઇસ્કોન વડોદરાના પ્રતિનિધિઓ દ્વારા નિર્ણાયક તરીકે શાળા-સ્તરીય શ્લોક સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યું હતું. 2025માં અંશને ગુજરાતના મુખ્યમંત્રી તરફથી પ્રશંસા પત્ર મળ્યો હતો. તેણે પોતાની વ્યક્તિગત બચત (4 વર્ષથી વધુ સમય સુધી એકત્રિત કરેલી) ઓપરેશન સિંદૂરને સમર્થન આપવા માટે દાન કરી હતી, જે એક ઉમદા કાર્ય છે - જે તેમના કરુણાપૂર્ણ અને સામાજિક રીતે જવાબદાર સ્વભાવને પ્રતિબિંબિત કરે છે.
વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં વાપી મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવેલા 300થી વધુ ગેરકાનૂની ભંગારના ગોડાઉન પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ ગોડાઉન ફાયર વિભાગ, GPCB અને અન્ય સંબંધિત અધિકારીઓની જરૂરી NOC મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે કાર્યરત હતા. મહાનગરપાલિકાએ છેલ્લા છ મહિનાથી આ સંચાલકોને વારંવાર નોટિસ પાઠવી હતી. ડેપ્યુટી કમિશનર અશ્વિન પંડ્યાએ જણાવ્યું હતું કે, 300 જેટલા ગોડાઉન સંચાલકોને નોટિસ આપી પૂરતો સમય અપાયો હતો, છતાં એકપણ સંચાલકે નિયમસર દસ્તાવેજો રજૂ કર્યા નહોતા. ગેરકાયદેસર બાંધકામ, નિયમ વિરુદ્ધના શેડ અને પરવાનગી વિનાના વ્યવસાય સામે હવે સીધી તોડફોડની કાર્યવાહી કરાઈ છે. મનપાના સર્વે મુજબ, ઘણા ભંગાર ગોડાઉન સંચાલકો વાપી GIDCની કેમિકલ કંપનીઓમાંથી આવતો વેસ્ટ યોગ્ય જાણકારી વિના અન્ય ભંગાર સાથે ભેળવી ઠાલવતા હતા. જેના કારણે આગની અનેક ઘટનાઓ સર્જાતી હતી. સુરક્ષા ધોરણોનું પાલન ન કરવાની આ બેદરકારીને ગંભીરતાથી લઈને મનપાએ કડક પગલાં લીધા છે. કરવડ વિસ્તારમાં મહાનગરપાલિકાની આ કામગીરીથી ગેરકાયદેસર મિલકત ધારકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વાપી મહાનગરપાલિકા દ્વારા સરકારી ગાઈડલાઈનનું કડક પાલન શરૂ થતાં ગેરનિયમિત રીતે ચાલતા વેપારીઓમાં પણ હલચલ મચી ગઈ છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય સુરક્ષા સલામતી અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006ના અમલ સહિતની જિલ્લામાં ફૂડ સેફ્ટી સંબંધિત ચાલી રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. જીરું, પનીર, ઘી સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો ફૂડ વિભાગ દ્વારા બેઠકમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી કુલ 1,09,44,764 (એક કરોડ નવ લાખ ચૂમાળીસ હજાર સાતસો ચોસઠ રૂપિયા) ની માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે જીરું, પનીર, એડિબલ ઓઈલ અને ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. 'ઓપરેશન કિચન ક્લીન'ની કામગીરીની સમીક્ષાઆ બેઠકમાં મહેસાણા જિલ્લામાં શરૂ કરવામાં આવેલ 'ઓપરેશન કિચન ક્લીન'ની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં કાર્યવાહીના ભાગરૂપે હોટેલ/રેસ્ટોરન્ટોના સંચાલકોને સ્વચ્છતા અને સુધારા માટેની 51 કારણદર્શક નોટિસો આપવામાં આવી છે, તે બાબતને બિરદાવવામાં આવી હતી. ઊંઝા રેલવે સ્ટેશનને 'ઈટ રાઈટ રેલવે સ્ટેશન'નું સર્ટિફિકેટ એનાયતઆ ઉપરાંત, ખાદ્ય સુરક્ષાના ધોરણોને પ્રોત્સાહન આપતી 'ઈટ રાઈટ ઈનિશિયેટિવ' અંતર્ગત ઊંઝા રેલવે સ્ટેશનને 'ઈટ રાઈટ રેલવે સ્ટેશન'નું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું છે. સમિતિના અધ્યક્ષ તથા સભ્યો દ્વારા આગામી સમયમાં ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવાના હેતુસર સમસ્ત કામગીરી સુચારુ રીતે થાય તે માટેના સકારાત્મક સૂચનો આપવામાં આવ્યા હતા.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના જેતપુર–નવાગઢ વિસ્તારમાં ભાદર નદીના પ્રદૂષણને રોકવા માટે રાજ્યની એજન્સીઓને વ્યાપક અને કડક સૂચનાઓ આપી છે. નગરપાલિકાના લગભગ 30 % વિસ્તારો હજુ પણ સીવેજ નેટવર્ક સાથે જોડાયેલા ન હોવાથી ઘરનો કચરો નદીમાં વહેતો હોવાનું સંયુક્ત સમિતિના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. NGTના મુખ્ય આદેશ મુજબ, જેતપુર–નવાગઢ નગરપાલિકાએ 22 ડિસેમ્બર, 2026 પહેલાં બાકી રહેલા વિસ્તાર સહિત સમગ્ર શહેરના 100 % ઘરોને સીવેજ નેટવર્ક સાથે જોડવાનું અને કોઈપણ પ્રકારનું ટ્રીટ ન કરાયેલું સીવેજ કે ઔદ્યોગિક અપશિષ્ટ નદીમાં ન જાય તે સુનિશ્ચિત કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ભાદર નદીના પ્રદૂષણને રોકવા રાજ્યની વિવિધ એજન્સીઓને કડક સૂચનાઓનેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતના જેતપુર–નવાગઢ વિસ્તારમાં ભાદર નદીના પ્રદૂષણને રોકવા રાજ્યની વિવિધ એજન્સીઓને વ્યાપક અને કડક સૂચનાઓ જાહેર કરી છે. આ આદેશ જજ પ્રકાશ શ્રીવાસ્તવ અને વિશેષજ્ઞ ડૉ. એ. સેનથિલ વેલ દ્વારા મૂળ અરજીમાં કરવામાં આવ્યો છે. સંયુક્ત સમિતિના નિરીક્ષણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, નગરપાલિકાના લગભગ 30% વિસ્તારો હજુ સુધી સીવેજ નેટવર્ક સાથે જોડાયેલા નથી, જેના કારણે ઘરના કચરાના નિકાલના નાળા ભાદર નદી તરફ વહેતા હતા. તાજેતરના નિરીક્ષણમાં કોઈ પણ ઔદ્યોગિક એકમમાંથી રંગીન અથવા રાસાયણિક અપશિષ્ટ નદીમાં છોડાતા હોવાની પુષ્ટિ થઈ નથી. ભૂગર્ભ સીવેજ નેટવર્કનું કાર્ય 22 ડિસેમ્બર 2026 પહેલાં પૂર્ણ કરવા તાકીદNGTના મુખ્ય આદેશ મુજબ જેતપુર–નવાગઢ નગરપાલિકાએ બાકી રહેલા 30% વિસ્તારનો ભૂગર્ભ સીવેજ નેટવર્કનું કાર્ય 22 ડિસેમ્બર, 2026 પહેલાં કોઈપણ પરિસ્થિતિમાં પૂર્ણ કરવું. સમગ્ર શહેરના 100% ઘરોને સીવેજ નેટવર્ક સાથે જોડવા. કોઈપણ પ્રકારનું ટ્રીટ કર્યા વગરનું સીવેજ કે ઔદ્યોગિક અપશિષ્ટ ભાદર નદી અથવા સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં જવું ન જોઈએ. જળાશયો અને ડ્રેનેજની આસપાસ 'નો-કન્સ્ટ્રક્શન ઝોન'સુપ્રીમ કોર્ટના 5 માર્ચ, 2019ના આદેશ મુજબ તમામ જળાશયો અને સ્ટોર્મ વોટર ડ્રેનેજની આસપાસ નીચેના બફર-ઝોનનું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. જેમાં તળાવો માટે 75 મીટર, પ્રાથમિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 50 મીટર, દ્વિતીયક સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 35 મીટર તૃતીયક સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 25 મીટરને નો-કન્સ્ટ્રક્શન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ સાથે અરજીનો નિકાલગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે NGTએ નિર્દેશ આપ્યા છે. બંને CETP 7 MLD JDPA અને 30 MLD ભાટગામ માન્ય પરવાનગી સાથે અને ધોરણોનું પાલન કરી ચલાવવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે. કોઈપણ ઉદ્યોગ, STP અથવા CETPને ચીફ ટેક્નિકલ ઓફિસર વિના કાર્ય કરવાની મંજૂરી ન આપે અને કોઈપણ પ્રકારનું અપશિષ્ટ નદીમાં ન જાય તેની ખાતરી કરે. તમામ નાળા, નદી વિસ્તાર અને એકમોની નિયમિત દેખરેખ ચાલુ રાખે. NGTએ સંપૂર્ણ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ સાથે અરજીનો નિકાલ કર્યો હતો.
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં જોષી પરિવાર નર્મદા પરિક્રમાવાસીઓ માટે સાત પેઢીથી નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યો છે. આ પરિવાર પરિક્રમાવાસીઓને ભોજન, રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે. આ સેવા તેમના પૂર્વજો દ્વારા શરૂ કરાઈ હતી અને આજે પણ અવિરત ચાલુ છે. પરિવારના વડીલ કમળાબેન જોશી અને જ્યોતિબેન જોશીના જણાવ્યા અનુસાર, આ સેવા તેમને પૂર્વજો પાસેથી વરદાન રૂપે મળી છે. તેઓ કોઈ પાસેથી દાન સ્વીકારતા નથી અને પરિક્રમાવાસીઓના આશીર્વાદને જ તેમની તાકાત માને છે. આ પરિવારના ચાર માસી-ભાણેજોએ આ સેવા માટે લગ્ન ન કરવાનો સંકલ્પ લીધો છે. તેઓ ખેતી કરીને પરિક્રમાવાસીઓની સેવા માટે જરૂરી તમામ વ્યવસ્થા પોતાના સ્ત્રોતથી જ પૂરી પાડે છે. નર્મદા પરિક્રમા દરમિયાન જોષી પરિવાર દિવસ-રાત પરિક્રમાવાસીઓની સેવામાં તત્પર રહે છે. કોઈપણ સમયે આવતા પરિક્રમાવાસીઓને ઘર જેવું સન્માન અને ભોજન અપાય છે. દરરોજ સરેરાશ 200થી વધુ ભાવિકો માટે ચા-નાસ્તો અને બંને સમયનું ભોજન તૈયાર કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. નિવૃત્ત આચાર્ય જ્યોતિબહેન પોતે રસોડાથી લઈને સેવા કાર્ય સુધીની દરેક કામગીરીમાં પરિવાર સાથે ખભેખભો મિલાવીને કાર્યરત રહે છે. જોષી પરિવારનો આ સેવા યજ્ઞ આજે સાતમી પેઢી સુધી જીવંત છે. પરિક્રમા કરવા આવતા ભાવિકો જણાવે છે કે, પરિક્રમાની થાકેલી યાત્રામાં, મંગલેશ્વરના જોષી પરિવારનું ઘર નર્મદાની મમતા જેટલું પ્રસન્નતાદાયક લાગે છે. આ સેવા પરંપરા માત્ર ભોજન કે રહેવાની વ્યવસ્થા પૂરતી સીમિત નથી. આજના યુગમાં જ્યાં લોકો પોતાના જીવનમાં વ્યસ્ત છે, ત્યારે મંગલેશ્વરના આ કુટુંબે સાત પેઢીઓ સુધી નર્મદા પરિક્રમાવાસીઓની નિઃસ્વાર્થ સેવાનો સંકલ્પ જાળવી રાખ્યો છે. આ પરિવાર સાબિત કરે છે કે શ્રદ્ધા, સમર્પણ અને માનવતા હોય તો અનેક પેઢીઓ સુધી એક જ દીવો પ્રગટ રાખી શકાય છે. આ સેવામાં ગામના અને આસપાસના લોકો પણ સવાર-સાંજ જોડાયેલા રહે છે.
રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 વાગ્યે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-3 ની ઇમરજન્સી જાહેર કરાઈ હતી. જેમાં 120 કર્મચારીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા જ્યારે 4 કર્મચારીને ગેસની ઝેરી અસર થતા NDRF ની ટીમ દ્વારા PPE કીટ પહેરીને રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જોકે બાદમાં આ મોકડ્રિલ હોવાનું જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. IOCL ના પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા કંપનીની સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગ કાબૂમાં ન આવતા અંતે 112 હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી. આ દરમિયાન કંપનીમાં કામ કરતા આશરે 120થી વધુ કર્મચારીઓને પ્લાન્ટમાંથી સલામત રીતે બહાર લઈ જવાયા હતા. બીજી તરફ પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવવાની કવાયત શરૂ કરી. જોકે આ દરમિયાન પોલીસ, આર.ટી.ઓ.ની ટીમે ટ્રાફિક જામ દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો. આ સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ ત્યાં પહોચી ગઈ અને પી.પી.ઈ. કીટ પહેરીને દુર્ઘટના ક્ષેત્રમાં જઈને ગેસથી અસર પામેલા 4 કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. અડધા કલાકની કવાયત બાદ અંતે આગ કાબૂમાં આવી હતી. આ દરમિયાન એસ.ડી.આર.એફ.ના જવાનો પણ ખડે પગે રહ્યા હતા. જોકે આખરે આ સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના સંયુક્ત નિયામકની ટીમ દ્વારા આઈ.ઓ.સી.એલ.ના નવાગામ ખાતે આવેલા પ્લાન્ટમાં અગ્નિશમન ક્ષમતા અને સજ્જતા ચકાસવા આ મોકડ્રીલ કવાયત યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના નાયબ નિયામક એન.વી.ચૌધરી, ડિઝાસ્ટર મામલતદાર મીરા જાની, આર.ટી.ઓ. અધિકારી કેતન ખપેડ, જી.પી.સી.બી.ના સાયન્ટિફિક ઓફિસર દશરથ પટેલ, એન.ડી.આર.એફ.ના અનુપમજી, પોલીસ તેમજ એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા તંત્ર સક્રિયમોતીબાગ સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ-મનપાનું સંયુક્ત આયોજન; આડેધડ પાર્કિંગ પર તવાઈજુનાગઢ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા વાહનોની સંખ્યા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે હવે પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સક્રિય થયું છે. જુનાગઢ એસપી, ડીવાયએસપી અને મહાનગરપાલિકાના અધિકારીઓએ સંયુક્ત રીતે શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટની મુલાકાત લઈને સમસ્યાના ઉકેલ માટે ખાસ આયોજન હાથ ધર્યું છે. જુનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, આજે જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાની આગેવાની હેઠળ, જુનાગઢ એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, ટ્રાફિક પીએસઆઈ અને જુનાગઢ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે એક બેઠક અને વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમે શહેરના ટ્રાફિક સમસ્યા સર્જાતા મુખ્ય વિસ્તારોની મુલાકાત લીધી, જેમાં મોતીબાગ ઝાંસીની રાણીનું સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજથી ત્રિમૂર્તિ હોસ્પિટલ સુધીનો રસ્તો, બસ સ્ટેશન, ગાંધી ચોક, મજેવડી દરવાજા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આગામી સમયમાં એમ.જી.રોડ અને કાળવા ચોક જેવા અન્ય મુખ્ય રોડ પરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પણ પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક સમસ્યાના મુખ્ય કારણો અને ઉકેલનો પ્લાન ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આ તમામ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય તે માટેનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને લારી-ગલ્લા ધારકો, ફેરિયાઓ અને પાથરણાવાળા રસ્તાની કિનારીઓ પર બેસીને ધંધો કરે છે, જેના કારણે રોડ સાંકડો બની જાય છે અને ટ્રાફિક જામ થાય છે.પેસેન્જર વાહનો જેમાં રીક્ષા અને અન્ય વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માટે ચર્ચા થઈ. આ ટીમે જુનાગઢ શહેરમાં જે સર્કલો છે તેની આસપાસ વાહનો પાર્ક કરવા માટેના પોઈન્ટો બનાવી શકાય કે નહીં, તેમજ અન્ય જે સર્કલો છે તેમાં જરૂરી સુધારો વધારો કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય, તે માટે આ તમામ વિસ્તારો અને સર્કલોની વિઝિટ કરવામાં આવી હતી. રેલવે ફાટક નજીકની જગ્યાઓમાં પણ જ્યાં પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે જુનાગઢ એસપી,કલેક્ટર અને મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને જુનાગઢ શહેરને કઈ રીતે ટ્રાફિક મુક્ત કરી શકાય, જેને લઇને આગામી દિવસોમાં એક ખાસ પ્લાન તૈયાર કરવામાં આવશે. બંધ ટ્રાફિક સિગ્નલ ફરી શરૂ કરવા પર ભાર વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સૌથી મોટો મુદ્દો એ સામે આવ્યો કે જુનાગઢ શહેરમાં જે ટ્રાફિક સિગ્નલો હાલમાં બંધ હાલતમાં છે, તેને વહેલી તકે કાર્યરત કરવા માટે હાલ ચર્ચા વિચારણા અને પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે કોર્પોરેશનને પણ સમજણ આપવામાં આવી છે.જુનાગઢ શહેરમાં બંધ રહેલા ટ્રાફિક સિગ્નલ વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અને અવરજવરમાં સરળતા રહે, તેવા સઘન પ્રયત્નો અને પ્લાનિંગ હાલ જુનાગઢ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. મુખ્ય રસ્તાઓ, ચોક અને સર્કલો આસપાસ ટ્રાફિકને કેવી રીતે હળવો કરી શકાય તે મામલે સચોટ પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે.
'ભાઈ તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?' બહેન રોહિણીના ફરી આકરા પ્રહાર
Lalu Prasad Yadav Family Controversy : રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં વિખવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ તેમના પુત્ર તેજસ્વી અને પુત્રી રોહિણી વચ્ચે વિવાદ થતા બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો, ત્યારે રોહિણીએ ફરી કિડની દાન કરવા મામલે ભાઈ તેજસ્વી પર આકરા પ્રહારો કર્યો છે. રોહિણીએ નામ લીધા વિના તેજસ્વી-સંજય પર કર્યા પ્રહાર રોહિણી આચાર્ય (Rohini Acharya)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના પિતાને કિડની દાન કરવાના મામલે આકરું નિવેદન જાહેર કર્યું છે. તેમણે નામ લીધા વિના ઈશારાઓમાં જ પોતાના ભાઈ તેજસ્વી યાદવ અને તેમના સલાહકાર સંજય યાદવ પર આકરા પ્રહારો કર્યા છે.
ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે. ચૂંટણી પંચના CEO હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 44 હજાર જેટલા BLO કામગીરીમાં જોડાયેલા છે. રાજ્યમાં અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ પહોચાડી દેવામાં આવ્યા છે. 4 ડિસેમ્બર સુધીમાં તમામ ફોર્મ એકત્રિત કરાશે અને 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. ગુજરાતમાં ડીસેમ્બર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે SIRની તેના પર અસર થશે કે નહીં તેને લઈ સવાલ કરાતા ચૂંટણી કરાવવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનું છે એટલે આ બાબતે અમે કશું કહી શકીએ નહીં. ડ્રાફ્ટ યાદીમાં નામ રહી ગયું હોય તો નામ ઉમેરી શકાશેSIRની કામગીરી માટે ફોર્મ ભરાયા બાદ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. ડ્રાફ્ટ જાહેર થયા પછી 8 જાન્યુઆરી સુધી કોઈનું નામ રહી ગયું હોય તો ઉમેરો કરી શકાશે. ઓનલાઇન દ્વારા પણ વિગતો ભરી શકાય છે. દરેક ફોર્મ પર આપેલ QR કોડ સ્કેન કરતા સીધું ઓનલાઇન ફોર્મ ખુલશે. 2002ની યાદીમાં નામ મળે તો સાબિતીની જરૂર નહીંશુક્લાએ કહ્યું કે જો 2002ની મતદાર યાદીમાં નામ મળે છે તો કોઇ વધારાની સાબિતી આપવાની રહેશે નહીં. રાજ્યમાં 50%થી વધુ મતદારો એવા છે જેમના માતા-પિતા અથવા દાદાના નામ મળી ગયા છે અને નવી યાદીમાં તેમના નામ સાથે લિંક થઈ ચૂક્યા છે. BLO એક મતદારની ત્રણ વખત મુલાકાત લેશેSIRની કામગીરી માટે BLO ત્રણ વખત મળશે, ‘બુક અ કોલ’ સુવિધા પણ ઉપલબ્ધ છે. BLO એપ પર ‘બુક અ કોલ’ સુવિધા ઉપલબ્ધ છે, જેથી મતદાર સમય નક્કી કરી BLO ને મળી શકે. દરેક ફોર્મ પર BLO નું નામ અને નંબર દર્શાવાયેલ છે. ફેબ્રુઆરીમાં ફાઈનલ યાદી જાહેર કરાશેમતદાર યાદી એક સતત પ્રક્રિયા છે. ફાઈનલ યાદી ફેબ્રુઆરી 2026માં પ્રસિદ્ધ થશે. નામ રહી જાય તો ફાઈનલ યાદી પછી પણ ફરી ફોર્મ ભરી નામ દાખલ કરી શકાશે. હાલ રાજ્યના BLO, મામલતદાર સહિતના અધિકારીઓ મતદારોને મદદરૂપ થવા માટે સતત કામગીરી કરી રહ્યા છે અને ઓછામાં ઓછાં દસ્તાવેજો સાથે મતદારોનું નામ યાદીમાં દાખલ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે. SIRની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અસર થશે કે નહીં?હાલમાં SIRની કામગીરી ચાલી રહી છે જેને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અસર થશે કે નહીં તે બાબતે હારિત શુકલાને પૂછતા તેમણે જણાવ્યું કે ચૂંટણી કરવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનું છે એટલે અમે આ બાબતે કશું કહી શકીએ નહીં. તેમજ રાજ્ય ચૂંટણી પંચ ને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે SIR ની કામગીરી ચાલી રહી છે એટલે હાલ કશું કહી શકાય નહીં.
ગીરસોમનાથમાં ટેકાના ભાવે ખરીદી વિવાદ:નાફેડ ગાઈડલાઈનમાં છૂટછાટની માગ, કલેક્ટરને રજૂઆત
ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી દરમિયાન ઊભા થતા વિરોધને શાંત કરવા સહકારી મંડળીઓના મંત્રીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનમાં નાફેડની માર્ગદર્શિકામાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે. કાજલી સેવા સહકારી મંડળીના મંત્રી દેવગીરી ગોસ્વામી સહિતના પ્રતિનિધિમંડળે કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળી અને સોયાબીનને ભારે નુકસાન થયું છે. બજારમાં નીચા ભાવ મળતા હોવાથી ખેડૂતો મોટા પાયે ટેકાના ભાવે વેચાણ કરવા આવે છે. જોકે, નાફેડ દ્વારા નિર્ધારિત કરાયેલા માપદંડોને કારણે ઘણા ખેડૂતોનો પાક ખરીદી શકાતો નથી. આના પરિણામે ખરીદી કેન્દ્રો પર વિરોધનો સામનો કરવો પડે છે. મંડળીના મંત્રીઓએ આવેદનમાં સ્પષ્ટ કર્યું કે જો નાફેડની માર્ગદર્શિકામાં છૂટછાટ આપવામાં આવે, તો તમામ ખેડૂતોનો પાક સરળતાથી ખરીદી શકાશે અને કોઈપણ પ્રકારનો વિવાદ કે વિરોધ ઊભો થશે નહીં. તેમણે કલેક્ટરને આ મુદ્દે તાત્કાલિક શિથિલતા આપવા વિનંતી કરી છે. હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૦ સહકારી મંડળીઓ ટેકાના ભાવે ખરીદીની કામગીરી સંભાળી રહી છે.
રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાત પોલીસે સૂચના આપી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને છેલ્લા 30 વર્ષમાં કુલ 1353 આરોપીઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલ હોવાનું સામે આવતા તેની તપાસ શરૂ કરી રિપોર્ટ તૈયાર કરવા તજવીજ હાથ ધરી છે જે રિપોર્ટ તૈયાર થઇ ગયા બાદ રાજ્ય પોલીસ વડાને સુપ્રત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી રાજકોટમાં આવેલા લોકો અંગે પણ સતત ત્રણ દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી જો કે આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ રાજકોટમાંથી પોલીસને મળી આવેલ નથી એટલે કે રાજકોટ સુરક્ષિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડીજીપીના આદેશ બાદ રાજકોટ પોલીસે કાર્યવાહી શરૂ કરી રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ફરીદાબાદમાં જે એક્સ્પ્લોઝીવ પકડાયા અને દિલ્લીમાં જે બ્લાસ્ટની ઘટના બની ત્યારથી સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું આ પછી ગઈકાલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સાહેબ દ્વારા રાજ્યની અંદર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને તેનો એક ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે જે રિપોર્ટ આગામી 100 કલાકની અંદર તૈયાર કરી રાજ્ય પોલીસ વડા કચેરી ખાતે સુપ્રત કરવાનો છે. જેના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા પણ આ અંગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, NDPS, હથિયાર ધારા, ફેક કરન્સી, ટાડા, પોટા, UAPA, એક્સપલુઝીવ એક્ટ, અને પેટ્રોલિયમ એક્ટ હેઠળ છેલ્લા 30 વર્ષમાં રાજકોટ શહેરમાં 1353 ગુનેગારો ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે જે તમામ આરોપીઓ હાલના સરનામાં, નોકરી ધંધા, પરિવારના સભ્યો, બેન્ક ડિટેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, પરિવારના સભ્યોની પૂરતી વિગત સહીત તમામ બાબતો અંગે પોલીસ રૂબરૂ જઇ તપાસ કરી રહી છે જે તમામની વિગતો એકઠી કરી રિપોર્ટ 100 કલાકમાં તૈયાર કરી ડોઝીયસ ભરી સબમિટ કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્લીમાં થયેલ બ્લાસ્ટ બાદ પરપ્રાંતી લોકો અંગે એટલે કે ગુજરાત બહાર અન્ય કોઈ પણ રાજ્યમાંથી આવતા લોકો હોય તેના માટે તપ કરવામાં આવી હતી જેમાં રાજકોટના જુદા જુદા વિસ્તારમાં તપાસ કરતા ગુજરાતમાં તમામ લોકો ધંધા રોજગાર અને મજૂરી અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે કોઈ શંકાસ્પદ ગતિવિધિ સાથે સંકળાયેલ લોકો મળી આવ્યા નથી. આ ઉપરાંત તમામ ઉપર કાયમ વોચ રાખવા પણ પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. હાલની સ્થિતિએ રાજકોટ સુરક્ષિત હોવાનો દાવો ઉલ્લેખનીય છે કે ગુનેગારોની યાદી તૈયાર કરવા મળેલ સૂચના અંગે કાર્યવાહી કરવાથી લોકલ પોલીસની ટીમ તેમના વિસ્તારમાં રહેતા આવા ગંભીર ગુનાનાં કે પછી દેશ વિરોધી પ્રવૃતિમાં જોડાયા હોય તેવા આરોપીઓથી અવગત થશે તેમજ તેમની ગતિવિધિઓથી પરિચિત થશે. આ કરવાથી ગુનેગારો ઉપર સ્થાનિક પોલીસની પકડ મજબૂત પણ બનશે અને સાથે સાથે ગુનેગારોમાં પણ એક ફફડાટ પણ જરૂર ઉભો થશે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે રાજકોટમાંથી 3 આતંકવાદીઓ જરૂર પકડાયા હતા પરંતુ હાલની તપાસમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન મળતા હાલની સ્થિતિ રાજકોટ સુરક્ષિત હોવાનો દાવો રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રોડ સેફ્ટી માટે ગુજરાત પોલીસની મોટી પહેલ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકો માટે ખાસ ફીચર્સ અપડેટ કરવામાં આવ્યાં છે. હવે નાગરિકો-વાહનચાલકોને નેવિગેશનની સાથે-સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરીનાં અપડેટ આગળીનાં ટેરવે આપશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. એ ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રિયલ ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 7 ગામના ગ્રામજનોની આક્રોશ રેલી ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આક્રોશ રેલી કાઢી આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક નિર્ણય ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો તથ્ય-પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા અને સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તમામ કલમો અંતર્ગત ચાર્જફ્રેમ થયા છે. તેની સાથે સાથે પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જજે તેમની પર લાગેલી કલમો બોલી, કાગળ ઉપર સહી લીધી હતી. હવે સાક્ષીઓ તપાસવાની કામગીરી શરૂ થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મહિલા બૂટલેગરોએ પોલીસ સામે ફેંકી બિયરની બોટલો અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો. ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી. અચાનક રિક્ષા ઊભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેંકી હતી. પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો. આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત લોકો જીવતાં ભડથું થઈ ગયા હતાં. અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘટના પગલે અરવલ્લી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઘટના અંગે આપી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું હોઈ શકે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મોબાઇલમાં વ્યસ્ત કારચાલકે બાઇકને ફંગોળી નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કારચાલકે બાઈકને અડફેટે લીધી હતી, જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકસવાર પુત્ર બ્રિજ પરથી 30 ફૂટ નીચે ફંગોળાઈ ગયો હતો. બીજી તરફ અકસ્માત સર્જનાર કારચાલકની પોલીસે અટકાયત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કાલે બોલિવૂડ સિંગર સચેત-પરંપરાની મ્યુઝીકલ નાઈટ રાજકોટ મહાનગરપાલિકા સ્થાપના દિવસના 52માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલે 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે ભવ્ય 'બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત ટંડન અને પરંપરા ટંડન પોતાના મધુર કંઠે શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે. આ સ્થાપના દિવસની ઉજવણીમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને 'મેયર એવોર્ડ' આપીને સન્માનિત પણ કરવામાં આવશે. સાથે રંગોળી સ્પર્ધામાં વિજેતા થનારાઓને ઇનામનું વિતરણ પણ કરાશે. જાહેર જનતા માટે આ કાર્યક્રમમાં ફ્રી એન્ટ્રી રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પાર્ક કરેલી બે કાર ભડભડ સળગી ઉઠી વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તુરંત 112 નંબર ઉપર કોલ કરીને ફાયર બ્રિગેડને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટના સમયે સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, કચરાને કારણે આગ લાગી છે અને કોર્પોરેશન કચરો લેવા આવતુ નથી. આ ઉપરાંત તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી 112 સેવાને પણ આડેહાથ લીધી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફરની ધરપકડ સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 (સીટ 27C) દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISFએ સંયુક્ત કામગીરી કરી ઝડપી લીધો છે. આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી હતી. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતમાં પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ સિઝનના સૌથી નીચા 9.9 ડિગ્રી તાપમાન સાથે દાહોદ ઠંડુગાર રહ્યું છે. રાજ્યમાં બીજા નંબરનું ઠંડું શહેર 10.5 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં બર્ફીલો માહોલ જામ્યો છે. જ્યાં ગુજ્જુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે. આબુમાં હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલાં વાહનો પર બરફના થર જામી ગયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક બિનઆમીન દાઉદભાઈ વિજાપુરા પાસેથી અજાણ્યા શખ્સે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ ઉપરાંત, તેમના પરિવારજનો પાસેથી પણ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ગત 12 નવેમ્બરની રાત્રે બિનઆમીન વિજાપુરાને મોબાઈલ નંબર 9426741709 પરથી એક અજાણ્યા શખ્સનો વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે હિન્દીમાં વાતચીત કરતાં 'ખાલીદભાઈ કે વહા 5 કરોડ ભીજવા દો' તેમ કહ્યું હતું. જ્યારે બિનઆમીન વિજાપુરાએ કારણ પૂછ્યું, ત્યારે ધમકી આપતા કહ્યું કે 'તુમ્હારે પ્રોટેક્શન કે લિયે નહીં તો ફેમિલી કે પ્રોટેક્શન કે લિયે, અગર નહીં દિયે તો ગોલી માર દુંગા'. આ અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે 5 કરોડ રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી. એટલું જ નહીં, 12 નવેમ્બરના રોજ બિનઆમીન વિજાપુરાના પરિવારજનોને પણ વોટ્સએપ કોલ કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ બિનઆમીન વિજાપુરાએ અજાણ્યા શખ્સના મોબાઈલ નંબરના આધારે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે પેથાપુરમાં પરિવાર સાથે રહેતી સગીર વયની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપીને 14 હજારનો દંડ અને પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા માટેનો પણ આદેશ કર્યો છે. 7 ઓગસ્ટ 2022ની રાત્રે સગીરાનું અપહરણ કરાયું હતુંફરિયાદ પક્ષની વિગતો મુજબ આ ગુનો તા. 7 ઓગસ્ટ 2022ની રાત્રે બન્યો હતો. ગાંધીનગરના પેથાપુરમાં ફરિયાદી અને તેમનો પરિવાર રાત્રે ઘરની ઓસરીમાં સૂતા હતા, ત્યારે વહેલી સવારે તેમની 16 વર્ષની દીકરી પથારીમાંથી ગુમ થઈ ગઈ હતી. જેના પગલે પરિવારે સગીરાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મહાલક્ષ્મી પેરેડાઇઝ સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. જેમાં રાત્રે પોણા એક વાગ્યાના સુમારે સગીરાને કોઈ વ્યક્તિ એક્ટિવા પર પાછળ બેસાડીને લઈ જતો જોવા મળ્યો હતો. પરિવારને વિસનગરના રહેવાસી હરેશભાઈ ચૌધરી પર અપહરણનો શક હતો. કેમકે તે છેલ્લા ચાર દિવસથી અચાનક ગુમ હતો. જે મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આરોપી હરેશ ઉર્ફે લાલો મોઘીજીભાઈ ચૌધરીએ ભોગ બનનાર સગીરાનું અપહરણ કર્યું હતું અને તેની સાથે વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધીને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો આચર્યો હતો. જે અંગે પોલીસે જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. પોક્સો કોર્ટે 20 વર્ષની કેદ અને 14 હજારનો દંડ ફટકાર્યોઆ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે.એન. ઠક્કર સમક્ષ ચાલવા પર આવ્યો હતો. જે કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે આરોપીએ ભોગ બનનાર દીકરી કે જેની ઉંમર બનાવ સમયે માત્ર 16 વર્ષ અને 22 દિવસની વયની હતી. તે જાણવા છતાં તેની મરજી વિરુદ્ધ બળજબરીથી આવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે.સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે જેથી આવા કેસના આરોપીને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ થવો જોઈએ.જેથી નવા ગુના કરતા લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે. સરકાર તરફેની આ ધારદાર દલીલો અને ભોગ બનનાર તેમજ અન્ય સાક્ષીઓની જુબાનીઓના આધારે કોર્ટે આરોપીને અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુનામાં દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા,14 હજારનો દંડ તેમજ પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
ગુજરાત ATSએ પકડેલા આતંકીઓને અન્ય કેદીએ માર માર્યો:મારામારીની તપાસ કરવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
જેલમાં કેદી ઓ વચ્ચે મારમારી નો બનાવ.. ગુજરાત ATS પકડેલા આતંકીઓ ને અન્ય કેદી એ માર માર્યો.. મારમારી ના બનાવ લઈ જેલમાં પોલીસે પહોંચી તપાસ કરી.. કઈ બાબતે મારમારી થઈ જેને લઇ તપાસ કરાઈ રહી છે..
વાપી GIDC પોલીસે ગેરકાયદેસર દારૂ પાર્ટી પર દરોડો પાડી 10 લોકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ₹1.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાપી GIDC પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે રાત્રી પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નેશનલ હોટલની બાજુમાં આવેલા GM ગેસ્ટ હાઉસના રૂમ નંબર 108માં ગેરકાયદેસર દારૂ પાર્ટી ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો. પોલીસના આગમનની જાણ થતાં જ અંદરથી દરવાજો બંધ કરી દેવાયો હતો. જોકે, પોલીસે દરવાજો ખખડાવતા એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો, ત્યારબાદ પંચોની હાજરીમાં રૂમની તપાસ શરૂ કરવામાં આવી હતી. રૂમમાં કુલ 07 પુરુષો અને 03 મહિલાઓ દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પાસે દારૂ પીવાની પાસ પરમિટ મળી ન હતી, જેથી તેમને કાયદેસરની કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો અને 10 મોબાઇલ ફોન સહિત કુલ ₹1,30,246નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રૂમમાંથી મળેલા ડિસ્પોઝેબલ ગ્લાસ, નમકીન અને દારૂથી ભરેલા ગ્લાસમાંથી આવતી તીવ્ર વાસનું પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું. કેફી પ્રવાહીનો પંચોની હાજરીમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા લોકોમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને પશ્ચિમ બંગાળના રહેવાસીઓનો સમાવેશ થાય છે. પુરુષો ઉપરાંત ત્રણ મહિલાઓ પણ આ પાર્ટીમાં સામેલ હતી. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(B), 81, 83, 86 અને 65(AA) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાપી GIDC પોલીસે જણાવ્યું હતું કે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખાસ કરીને દારૂ સંબંધિત ગુનાઓ પર સખત પગલાં લેવામાં આવશે અને આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. દારૂની પાર્ટીમાં ઝડપાયેલા લોકો
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીની કેસમાં પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહીમાં ઢીલ મૂકી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. જો કે, પોલીસનું કહેવું છે કે આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે. હાલ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે છતાં પોલીસે તમામ કાર્યવાહી કરી જ છે. મને રોકાણ કરવાનું કહીને વધારે નફો આપવાની લાલચ આપી હતીફરિયાદી જશ ભાટિયાએ જણાવ્યું હતું કે, 2 મહિના અગાઉ મારા સાથે ભગીરથ ચુડાસમા, જયદીપ ચુડાસમ,કિશોર ચુડાસમા સહિત કુલ 5 શખ્સોએ રોકાણ કરવાના બહાને 1 કરોડથી વધારે લીધા હતા. જોકે સોદો કેન્સલ થતા આરોપીઓએ પૈસા પરત મેળવી લીધા હતા, પરંતુ મારા પૈસા પરત આપ્યા ન્હોતા. મને રોકાણ કરવાનું કહીને વધારે નફો આપવાની લાલચ આપી હતી, જોકે નફો કે મૂડી પરત ન આપતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપફરિયાદ નોંધાયાના 60 દિવસ બાદ પણ પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી નથી. પોલીસે માત્ર ચાર આરોપીઓને બોલાવીને જામીન આપ્યા છે. જેમાંથી એક આરોપી હજુ જામીન વિના છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ફરિયાદ પણ અમે કોર્ટ દ્વારા નોંધાવી હતી. અમને ન્યાય મળે તેવી આશા છે. પોલીસે કહ્યું-'કાર્યવાહી કરી છે, કોર્ટમાં કેસ ચાલુ છે'સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ ગોહિલે જણાવ્યું હતું કે, ફરિયાદીની ફરિયાદ મળતા જ તમામ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીના નિવેદન લેવામાં આવ્યા છે. ફરિયાદી અને આરોપી બંનેએ પૈસા આપ્યાના પુરાવા છે. આરોપીઓ કેસ મુદ્દે હાઈકોર્ટમાં ગયા છે જેથી હાઈકોર્ટના આદેશની રાહ જોવાઈ રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી તમામ પ્રકિયા કરવામાં આવી છે. આગળ પણ કરવામાં આવશે.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે હવાઈ કનેક્ટિવિટીમાં વધારો થવાનો છે. ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ થવાની છે. જેથી મુસાફરોને પણ ટ્રાફિકથી રાહત મળશે. ઇન્ડિગો અને અકાસા એરલાઇન બંને ખાનગી એરલાઈન્સ આ નવા રૂટ પર તેમની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.એરલાઇનનાં જણાવ્યા મુજબ, ઇન્ડિગો 25 ડિસેમ્બરથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી મુંબઈના NMIA એરપોર્ટ માટે સીધી ઉડાન શરૂ કરશે. જ્યારે અકાસા એરલાઇન પોતાની સેવા 31 ડિસેમ્બરથી શરૂ કરશે. ડિસેમ્બરથી અમદાવાદથી મુંબઈ નવી ફલાઈટ શરૂ થશેએરલાઈન્સના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો એરલાઈન પોતાની નવી ફ્લાઇટ 25 ડિસેમ્બરથી શરૂ કરશે. જ્યારે અકાસા એરલાઈન પોતાની નવી ફ્લાઇટ 31 ડિસેમ્બરથી શરૂ કરશે. આ નવી કનેક્ટિવિટી અમદાવાદ એરપોર્ટ અને મુંબઈ વચ્ચેના ટ્રાફિકને હળવો કરવામાં મદદ કરશે. આ નવી એર કનેક્ટિવિટીથી મુસાફરોને મુંબઈ મેઈન એરપોર્ટનો ભાર ઘટાડવામાં મદદ મળશે અને મુંબઈ તરફના પ્રવાસ માટે વધુ સુવિધા મળશે.
વેરાવળ શહેરમાં સુરક્ષા એજન્સીઓની હલચલ જોવા મળી છે. મુસાફરખાનામાંથી જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી મમદ સીદીક નાઝીર આહમદ મીર, તેમની પત્ની શબનમ અને તેમના બે બાળકો, 4 વર્ષનો એઝન અને 2 વર્ષની અક્ષા, શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં યુગલે જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ રાજ્યના ભરૂચ, ગોધરા અને માંગરોળ જેવા શહેરોમાં ફર્યા બાદ વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળના મુસાફરખાનામાં રોકાયા બાદ સંચાલક દ્વારા તેમની શંકાસ્પદ ગતિવિધિઓની જાણ વેરાવળ પોલીસને કરવામાં આવી હતી, જેના પગલે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. વેરાવળ પોલીસ અને SOGની ટીમે યુગલની વિગતવાર પૂછપરછ કરી હતી. તેમની આપેલી માહિતીની ખરાઈ કરવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક કે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી. જોકે, સુરક્ષા એજન્સીઓ તેમની પૃષ્ઠભૂમિ અને રાજ્યમાં તેમની હાજરી અંગે વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે આવેલી મદીના મસ્જિદમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકો મળી આવ્યા હતા. તે પ્રકરણમાં મસ્જિદના સંચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. આ અગાઉની ઘટનાને કારણે સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે, જેના પરિણામે વેરાવળના મુસાફરખાનામાં રોકાયેલા આ કાશ્મીરી યુગલ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે રજૂ કરાયા હતા.
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદના મુવાલિયા નજીક આજે બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને રોડ પર ડીઝલ ફેલાઈ જતાં ટ્રાફિક અવરોધાયો હતો. હાઈવે ક્રોસિંગ પાસે એક ટ્રક યૂટર્ન લઈ રહી હતી તે દરમિયાન પાછળથી ઝડપે આવી રહેલી બીજી ટ્રકે તેને ટક્કર મારી હતી. ટક્કરના કારણે યૂટર્ન લેતી ટ્રકની ડીઝલ ટાંકી ફાટી ગઈ હતી. ડીઝલ ટાંકી ફાટવાને કારણે મોટી માત્રામાં ડીઝલ રોડ પર ફેલાઈ ગયું હતું. અકસ્માતમાં બંને ટ્રકોના ચાલકો અને ક્લીનરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ત્રણેયને ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 112ની ટીમ અને રૂરલ પોલીસે પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. રોડ પર ડીઝલ ફેલાઈ જવાને કારણે ઈન્દોર જવાની એક તરફની લેન થોડા સમય માટે બંધ રાખવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને વાહનોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનની ભારતમાં રહેલી એનિમી પ્રોપર્ટી આઇડેન્ટીફાય કરવા માટેનો નિર્ણય લેવાયો છે ત્યારે હાલ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રોપર્ટી આવેલી છે. જે કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો સર્વે કરવા માટે મુંબઈથી સર્વેયર સહિતની ટીમ ફરી રાજકોટ આવી છે. જે અલગ અલગ જગ્યાએ સર્વે કરી તેનો રિપોર્ટ મુંબઈ વડી કચેરીમાં આપશે અને બાદમાં આવી પ્રોપર્ટી પર રહેલું દબાણ દૂર કરી તેની હરાજી કરવામાં આવશે. એક અંદાજ મુજબ રાજકોટ જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટીરાજકોટ જિલ્લા વહિવટી તંત્રના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટી આવેલી છે. જેમાં જેતપુર શહેર અને પંથકમાં જ 45 મિલકતો આવેલી છે. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ,ધોરાજી પંથકમાં 20 મીલકતો આવેલી છે. આ જગ્યાઓ ઉપર હાલ કોઈ દબાણ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે બાદમા વર્ષોથી સરકાર હસ્તગત રહેલી આ દુશ્મની મિલકતો હરાજી કરવામા આવશે. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનિમી પ્રોપર્ટીની માહિતી કેન્દ્ર સરકારને મોકલાઈરાજકોટ સહિત દેશભરમાં કેટલી હિજરતી એટલે કે દુશ્મની મિલકતો આવેલી છે. તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ બાબતે અગાઉ મુંબઇથી રાજકોટ કલેકટર સાથે ખાસ વીડિયો કોન્ફરન્સ પણ યોજાઇ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી 70 મિલકતોની વિગતો રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુંબઇ ખાતે રહેલ કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી તંત્રને મોકલી આપવામાં આવી છે. જેમાં આ મિલકતોનુ વેલ્યુએશન કાઢવામાં આવેલું છે અને કેટલી જગ્યા છે તેની વિગતો પણ મોકલવામાં આવેલી છે. જે એનિમી પ્રોપર્ટી પર દબાણ હશે તે દૂર કરાશેઉલ્લેખનીય છે કે, વર્ષ 1947 માં ભારત દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા થયા. આ સમયે મહોમ્મદ અલી ઝીણા સહિતના ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જોકે તેઓની મિલકતો ભારતમાં અલગ અલગ જગ્યાએ સ્થિત છે. જે હાલ પડતર હાલતમાં છે. જ્યાં અમુક જગ્યાએ દબાણ થઈ ગયાનુ પણ સામે આવ્યું છે દરમિયાન રાજકોટ જિલ્લામાં આ પ્રકારની 70 જેટલી દુશ્મની મિલકતો આવેલી છે. જે મિલકતો હાલ સરકાર હસ્તગત જ છે પરંતુ આ મિલકતો ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ હોય તો તે દૂર કરવામાં આવશે અને ત્યારબાદ આ જમીનનું વેલ્યુએશન કાઢી તેની હરાજી કરવામાં આવશે.રાજકોટ જીલ્લામાં આવેલી આવી 70 જેટલી એનીમી પ્રોપર્ટીઓ કે જેનું હાલ કોઈ વારસદાર નથી. આવી પ્રોપટીઓનો સર્વે કરવા માટે મુંબઈથી સર્વેયર સહિતની ટીમ ફરી અહીં આવી પહોંચી છે. સર્વેની કામગીરી બાદ આ અધિકારી પોતાની સાથે રીપોર્ટ લઈ જઈ મુંબઈ વડી કચેરીને સોંપશે. જે પછી આ પ્રોપર્ટીની હરાજીનો નિર્ણય લેવામાં આવશે. એનિમી પ્રોપર્ટી શું છે?દેશના ભાગલા સમયે કે પછી 1962, 65 અને 1971ના યુદ્ધમાં એવા લોકો જે દેશ છોડીને પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા. બીજા દેશમાં જવાને કારણે તેમની મિલકત, મકાન, દુકાન કે જમીન ભારતમાં રહી ગઈ તેને દુશ્મન સંપત્તિ કહેવામાં આવે છે. સરકાર દ્વારા દરેક રાજ્યમાં હજારો દુશ્મન સંપત્તિની ઓળખ કરવામાં આવી હતી. 1968ના સંરક્ષણ અધિનિયમ હેઠળ સરકારને દુશ્મનની મિલકતો જપ્ત કરવાનો અધિકાર છે.
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે ઠંડી માં વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રાણીઓને ઠંડીમાંથી રક્ષણ મળે તેના માટે અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દ્વારા પ્રાણીઓ- પક્ષીઓ માટે હીટર- બલ્બ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડા સહિતના પ્રાણીઓના પીંજરાની બહાર હીટર મૂકવામાં આવ્યા છે જેના કારણે પ્રાણીઓને ઠંડીથી રાહત મળે છે. શિયાળામાં પ્રાણીઓને ખોરાકની વધારે જરૂરિયાત પડતી હોવાને કારણે હાથી સહિતના પ્રાણીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સુપ્રીટેન્ડેન્ટ ડો. સર્વ શાહે જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડી થી પ્રાણીઓને રક્ષણ મળે તેના માટે થઈને વાઘ દીપડા જેવા પ્રાણીઓના પિંજરાની બહાર જરૂરિયાત પ્રમાણેના હીટર મૂકવામાં આવ્યા છે. આ હીટર કેવી રીતે મૂકવામાં આવ્યા છે જેનાથી પ્રાણીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય અને ઠંડીથી રક્ષણ મળી રહે છે. શિયાળામાં જમીન ઠંડી થઈ ગઈ હોય છે જેના કારણે થઈને પ્રાણીઓ જ્યાં બેસે અથવા સુવે છે ત્યાં સૂકા ઘાસની પથારી પણ કરવામાં આવેલી છે. પક્ષીઓ અને સરીસૃપો એટલે કે સાપ માટે માટલા મૂકી અંદર બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે. બલ્બની ગરમીને કારણે સરીસૃપો અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે છે. શિયાળામાં માનવીની જેમ પશુ પક્ષીના ખોરાકમાં પણ ફેરફાર થાય છે ઉનાળા કરતા તેઓને વધુ ખોરાકની જરૂર પડે છે. શિયાળામાં વસાણા ઉત્તમ માનવામાં આવે છે ત્યારે હાથીના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવે છે. ગોળ, અજમો, હળદર, સુંઠ વગેરેમાંથી બનાવવામાં આવેલ ખાસ પ્રકારનો લાડુ હાથીને આપવામાં આવે છે.
મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 8,37,10,126 (આઠ કરોડ સાડત્રીસ લાખ દસ હજાર એકસો છવીસ રૂપિયા) કરતાં વધુના ટર્નઓવર સાથેના એક 'મ્યુલ એકાઉન્ટ' વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાં જમા કરવા અને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, બંધન બેંકનું આ ખાતું 'હિતેષ ટ્રેડર્સ' નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, આ બેંક ખાતામાં સાયબર ફ્રોડથી મેળવેલા 1,11,334 (એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયા) સહિતના નાણાં જમા થયા બાદ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા.પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓ હિતેષકુમાર મહેન્દ્રભાઈ રાવળ અને પીયૂષભાઈ કાન્તીભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી છે.હાલમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગતપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશનના કાગળોનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે 'હિતેષ ટ્રેડર્સ'ના દર્શાવેલા સરનામે તપાસ કરી, ત્યારે તે સરનામે કોઈ પેઢી અસ્તિત્વમાં ન હોવાનો મોટો ખુલાસો થયો હતો. 7 રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા બેંક ખાતાનો ઉપયોગ થયોઆ બેંક ખાતાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહોતી. બેંગ્લોર, પટના, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ અને રાજસ્થાન સહિત કુલ 7 રાજ્યોમાંથી આ બેંક ખાતા વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ફરિયાદો નોંધાયેલી છે.મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ભાડા પર એકાઉન્ટ મેળવવાનું કૌભાંડમહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની અંદર મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જે એકાઉન્ટ ખાલી ને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય, એ ડેબિટ ક્રેડિટના કોઈપણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે. અને જે એકાઉન્ટ હોલ્ડર છે, એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે. અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આવતા હોય છે નાણાં તેની લેવડ-દેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે. આવા જે મ્યુલ એકાઉન્ટ છે, તેની જે NCCRPનું જે પોર્ટલ છે એમાં કુલ સાત અલગ-અલગ ગુનાઓમાં આ મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું, કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશકુમાર રાવળ અને પીયૂષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમને હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનો તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું યુઝ ખોલાવેલું હતું.અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કુલ સાડા આઠ કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી થયેલા છે. અને કુલ સાત અલગ-અલગ પ્રકારના અલગ-અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે.જેની અંદર ડિજિટલ એરેસ્ટના ગુનાઓ પણ છે.જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યુડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે, તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પીયૂષભાઈને અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે. શું કહી રહી છે પોલીસ?Dysp મિલાપ પટેલે જણાવ્યું કે, જનરલી ધ્યાનમાં એવું આવેલું છે કે, કોઈપણ ગરીબ વ્યક્તિ હોય, રૂપિયાની જરૂરિયાત વાળી વ્યક્તિ હોય, તેનો ઉપયોગ કરી અને તેના નામે તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને અમુક એવી બેન્ક્સ કે જેમાં KYCના એટલા સ્ટ્રોંગ પ્રોવિઝન્સ નથી તો ત્યાં ઝડપથી બેન્ક એકાઉન્ટ ઓપન થઈ જતું હોય, તો એવી બેન્કની અંદર બેન્ક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને તેને ખૂબ નાની રકમ એને આપવામાં આવે છે અને એની લાલચમાં આવી અને જે વ્યક્તિ છે, પોતાના ડોક્યુમેન્ટ્સ આપે છે અને બેન્ક એકાઉન્ટ ખોલાવી અને અન્ય વ્યક્તિને વાપરવા માટે આપે છે. પરંતુ આ એકાઉન્ટનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે. ઘણી વખત સાયબર ફ્રોડના જે પેમેન્ટ્સ છે એને પ્રોસેસ કરવા માટે થતો હોય છે. ગેમિંગ કંપનીઓ જે હવાલાના રૂપિયા બહાર મોકલતા હોય છે એના પ્રોસેસ માટે આ એકાઉન્ટનો ઉપયોગ થતા હોય છે. ઘણા કિસ્સાની અંદર ટેરરિઝમ માટે જે નાણાં વાપરવામાં આવતા હોય છે તેની માટે થઈને પણ આ એકાઉન્ટનો ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરી અને જનતાને એ જણાવવાનું છે કે આવા પોતાના એકાઉન્ટનો ઉપયોગ અન્ય વ્યક્તિને નાની અમાઉન્ટ માટે થઈ અને લાલચમાં આવીને કરવા ન દેવો જોઈએ. કાયદેસરનો જ્યારે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે જે તે એકાઉન્ટ હોલ્ડર છે તેની જવાબદારી ગણાય છે અને તેને એની સજા ભોગવવી પડે છે. તે પોતે આ જવાબદારીમાંથી છટકી શકતો નથી.બેન્કના જે કર્મચારીઓ છે તે કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ કરીને આ રીતે બેન્ક એકાઉન્ટ્સ ખોલે છે કે એની પાછળ તેઓ પણ આમાંથી કોઈ બેનિફિટ મેળવે છે, તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. જો કોઈનું એવું ચોક્કસ ઇન્વોલ્વમેન્ટ ધ્યાન પર આવશે કે તેઓએ કોઈ બેનિફિટ નાણાકીય લઈ અને આવા એકાઉન્ટ ખોલાવડાવ્યા છે, તો ચોક્કસપણે તેઓને પણ સહ આરોપી તરીકે ગુનામાં દાખલ કરવામાં આવશે.
જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓ વારંવાર વસાહત તેમજ વાડી વિસ્તારમાં આવી ચડવાના બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે આજે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગામેથી એક દીપડાને આબાદ રીતે પાંજરે પૂરવામાં આવતા સ્થાનિક લોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. અકાળા ગામના ખેડૂતોના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ ધામા નાખ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે ભય ફેલાયો હતો. દીપડો ઘણી વખત ખેડૂતોની વાડીએ જતા રસ્તાઓમાં પણ બેસી જતો હોવાથી લોકોને પોતાની વાડી વિસ્તારમાં જવા માટે પણ ડરના માહોલમાં જીવવું પડતું હતું. આ અંગે અકાળા ગામના ખેડૂત ઉદયસિંહ કાગડાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાની ઘણી રંજાડ હતી, જેનાથી અહીંના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.ખેડૂતોની રજૂઆતને પગલે આરએફઓ એ.એમ. ચૌધરીને જાણ કરવામાં આવતા, તેમણે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ સ્ટાફને સૂચના આપી હતી. વન વિભાગે ગઈકાલે દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં પાંજરું મૂક્યું હતું. આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં આ દીપડો આબાદ રીતે પકડાય ગયો હતો. ફોરેસ્ટ સ્ટાફે દીપડાને પકડવાની આ કામગીરી તાત્કાલિક કરી હતી. દીપડાને પાંજરે પૂર્યા બાદ તેને સલામત સ્થળે એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીથી ગ્રામજનો અને ખેડૂતોએ ભયમુક્ત થઈ સંતોષ વ્યક્ત કર્યો છે અને વન વિભાગનો આભાર માન્યો છે. ખેડૂતો હવે નિર્ભયતાથી પોતાની વાડીએ જઈ શકશે.
મહેસાણા શહેરમાં નોટબંધી બાદ હવે બેંકની બહાર ફરી એકવાર લાંબી લાઇનો જોવા મળી રહી છે, પરંતુ આ લાઇનો જૂની નોટો બદલવા માટે નહીં પણ રૂપિયા 10 અને 20ની નવી નોટો લેવા માટે લાગી છે. મહેસાણાની અર્બન બેંક આગળ લોકોને 10 અને 20 રૂપિયાની નવી ચલણી નોટો મેળવવા માટે કલાકો સુધી ઊભા રહેવા તૈયાર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નવી નોટો લેવા માટે લોકોની લાઈન લાગીરિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા બેંકોને કેમ્પનું આયોજન કરી નોટ વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે અર્બન બેંક દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. 10 રૂપિયાની નવી નોટો લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. 14 લાખ રૂપિયાની 10 રૂપિયાની નોટોનું વિતરણ આ કેમ્પમાં બેંક દ્વારા કુલ 14 લાખ રૂપિયાની 10 રૂપિયાની નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 2 રૂપિયા અને 5 રૂપિયાના કુલ 3 લાખ રૂપિયાના સિક્કાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નવી નોટો અને સિક્કા મેળવવા માટે લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. ધી મહેસાણા કો-ઓપ. અર્બન બેંકના બ્રાન્ચ હેડ મુકેશ પટેલે જણાવ્યું કે, આરબીઆઈની સૂચના મુજબ ફ્રેશ નવી નોટોનું વિતરણ કરવા માટેની અમને આદેશ મળ્યો છે. તો ફ્રેશ નોટોનું એ લોકોએ જોગવાઈ કરી આપેલ છે અને અમે પબ્લિકમાં એના વિતરણ માટે એક કેમ્પનું આયોજન કર્યું છે. જે બેંકની આગળ આજે સવારથી જ 10 વાગ્યાથી રૂપિયા 20ના 10ના અને પરચૂરણ એના વિતરણ માટે આપણે કેમ્પનું આયોજન કર્યું છે.
વડોદરા શહેરને નશામુક્ત કરવા પોલીસની સતત કાર્યવાહી વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મચ્છીપીઠ નાકા પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી SOG પોલીસે મોટી રેડ કરી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડમાં 1.76 લાખ રૂપિયાની કિંમતનું 58 ગ્રામ 700 મિલીગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેમજ રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને ડિજિટલ વજનકાંટો મળી કુલ 1.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીની શોધખોળ ચાલી રહી છે. SOG પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, આરોપી રફીક મલેક પોતાના ઘરમાં MD ડ્રગ્સનો જથ્થો સંતાડીને છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો અને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં આરોપી વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં NDPS Actની સંલગ્ન જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પકડાયેલ આરોપીની વિગતો મહંમદરફીક રફીક ઇકબાલભાઇ મલેક ઉં.વ. 35 વર્ષ, રહે. મોદી હાઉસ, ત્રીજો માળ, મચ્છીપીઠ નાકા, રાવપુરા, વડોદરા. કબજે કરાયેલ મુદ્દામાલ : 1. મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ – 58.700 ગ્રામ 2. ડ્રગ્સ વેચાણની રોકડ 14700 રૂપિયા 3. 1 મોબાઇલ ફોન 4. 1 ડિજિટલ વજનકાંટો ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસ કમિશનર ડૉ. નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025દરમિયાન અત્યાર સુધીમાં NDPS Act હેઠળ કુલ 22 ગુના નોંધાયા છે, જેમાં રૂ. 1.22 કરોડથી વધુના વિવિધ માદક પદાર્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 1.59 કરોડથી વધુનો માલ કબજે કરવામાં આવ્યો છે અને 41 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા 4 ખાદ્ય પદાર્થોના નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં 'સબસ્ટાન્ડર્ડ' (ફેઈલ) જાહેર થયા છે. આ ફેલ થયેલા નમૂનાઓમાં સીધેશ્વર ઢોસા માંથી લેવાયેલું બટર (લુઝ), ગાયત્રી મદ્રાસ કાફે માંથી લેવાયેલું ANMOL SUPER REFINED KAPAASIYA TEL, શ્યામ ડેરી પ્રોડક્ટસ માંથી લેવાયેલું SAVARIYA LOW FAT PANEER અને CRYTAL BEVERAGES નું 'BILLKING' PACKAGED DRINKING WATER સામેલ છે. આ તમામ ધંધાર્થીઓ સામે હવે એજયુડિકેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફેઈલ થયેલા નમૂનાઓની વિગત 1. બટર (લુઝ) - સીધેશ્વર ઢોસા, નાનામવા સર્કલ:નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ પર આવેલા સીધેશ્વર ઢોસા ના સ્થળેથી લેવામાં આવેલા બટર (લુઝ) ના નમૂનાનો પૃથ્થકરણ રિપોર્ટ નિષ્ફળ ગયો છે. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, આ નમૂનામાં B.R.READING AT 400 C અને મિલ્ક સોલીડ નોટ ફેટ ની માત્રા નિર્ધારિત ધારાધોરણ કરતાં વધુ મળી આવી છે. આ ઉપરાંત, રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી હતી અને તેમાં તીલ ઓઇલની હાજરી પણ મળી આવી હતી. આ ગેરરીતિઓના કારણે આ નમૂનાને સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર કરવામાં આવ્યો છે. 2. ANMOL SUPER REFINED KAPAASIYA TEL - ગાયત્રી મદ્રાસ કાફે, જૂનો મોરબી રોડ:જૂના મોરબી રોડ પર, કાર્તિક પાર્ટી પ્લોટ પાસે, તીર્થ એપાર્ટમેન્ટ સ્થિત ગાયત્રી મદ્રાસ કાફે માંથી લેવાયેલ ANMOL SUPER REFINED KAPAASIYA TEL (FROM 15 KG PKD TIN) નો નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. પૃથ્થકરણ રિપોર્ટમાં આ નમૂનામાં B.R.READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ મળી હતી. સૌથી મહત્ત્વનું, કોટન સીડ ઓઇલના ટેસ્ટમાં કપાસિયા તેલની ગેરહાજરી મળી આવતા આ નમૂનો નિષ્ફળ જાહેર કરાયો છે. 3. SAVARIYA LOW FAT PANEER - શ્યામ ડેરી પ્રોડક્ટસ, કોઠારીયા રોડ:કોઠારીયા રોડ, વિવેકાનંદનગર, શેરી નં. 9 ખૂણા પર આવેલી શ્યામ ડેરી પ્રોડક્ટસ માંથી લેવામાં આવેલા SAVARIYA LOW FAT PANEER (FROM 5 KG PKD) ના નમૂનામાં પણ ભેળસેળ મળી આવી છે. આ નમૂનાના રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં વધુ મળી આવ્યું હતું, તેમજ રીચર્ટ વેલ્યૂ ધારા ધોરણ કરતાં ઓછી નોંધાઈ હતી, જેને પગલે તેને સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર કરવામાં આવ્યો છે. 4. 'BILLKING' PACKAGED DRINKING WATER - CRYTAL BEVERAGES, માંડા ડુંગર:પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા-1, શેરી નં. 1, માંડા ડુંગર, અજય વે-બ્રિજ સામે આવેલ CRYTAL BEVERAGES માંથી લેવાયેલું 'BILLKING' PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE) નું સેમ્પલ પણ ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ ગયું છે. રિપોર્ટ અનુસાર, આ નમૂનામાં એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાનું જણાયું હતું, જેના આધારે તેને સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) ઘોષિત કરવામાં આવ્યું છે. માંડા ડુંગર-આજીડેમ વિસ્તારમાં 22 ધંધાર્થીની તપાસ આજરોજ ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે શહેરના માંડા ડુંગર અને આજીડેમ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન કુલ 19 ખાદ્ય ચીજોના નમૂનાની સ્થળ પર ચકાસણી પણ કરવામાં આવી હતી. દરમિયાન કુલ 12 ધંધાર્થીઓ પાસે ફૂડ લાઈસન્સ નહીં હોવાનું માલૂમ પડ્યું હતું, જેને પગલે તેમને તાત્કાલિક ધોરણે લાઈસન્સ મેળવવા માટે સૂચના આપવામાં આવી હતી. લાઈસન્સ બાબતે સૂચના મળેલ ધંધાર્થીઓ (1) એમ. ડી. માર્ટ, (2) જય ખોડિયાર ફરસાણ, (3) ખાટુ શ્યામ દાળ પકવાન, (4) શક્તિકૃપા ફરસાણ, (5) દ્વારકેશ ડેરી ફાર્મ, (6) રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, (7) યશશ્વિ પ્રોવિઝન સ્ટોર, (8) ધાર્મિ મેડિસિન્સ, (9) શ્રી ગણેશ મેડિકલ સ્ટોર, (10) બાલાજી ખમણ, (11) ગોકુલ કેરીનો રસ અને (12) મિલન ખમણ
BSFની રાષ્ટ્રીય એકતા બાઇક રેલી કચ્છ પહોંચી:જમ્મુથી ભુજ યાત્રા, 61મા BSF રાઇઝિંગ ડે માટે જાગૃતિ
BSF દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે મોટરસાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 176 બટાલિયન BSF ભુજ ખાતે યોજાનારી 61મી BSF રાઇઝિંગ ડે પરેડ 2025ના અનુસંધાને આ રેલી જમ્મુ-કાશ્મીરથી પશ્ચિમ સરહદી ભુજ સુધીની યાત્રા પર છે. આ રેલી આજે કચ્છના પ્રવેશદ્વાર આડેસર પહોંચી હતી.આડેસરથી આગળ વધીને રેલી હાઈવે પટ્ટી પર આવેલા ગાગોદર ગામે પહોંચી હતી. અહીં ગાગોદર પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેગલ અને પોલીસ સ્ટાફ દ્વારા BSF જવાનોનું ઢોલ-શરણાઈ, ડી.જે. અને રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાગોદર ગામના આગેવાનો અને કુમાર પ્રાથમિક શાળા પરિવારે પણ જવાનોનું વિશેષ સન્માન કર્યું હતું. મહિલા પોલીસકર્મીઓ દ્વારા બાઇક સવાર BSF જવાનોને કુમકુમ તિલક કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ રેલી આજે મોડી રાત્રે ભુજ પહોંચવાની અપેક્ષા છે.
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શિકારપુર ગામ નજીક જારના ખેતરોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ખાનગી કંપનીની પવનચક્કીના વીજ તારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગેલી આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના આશરે 2 વાગ્યાની આસપાસ પવનચક્કી નંબર 207 પાસે કંપનીના કર્મચારીઓ દ્વારા કોઈ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ખેતર ઉપરથી પસાર થતા વીજતાર એકબીજા સાથે અથડાતા શોર્ટ સર્કિટ થયો હતો. આ શોર્ટ સર્કિટના તણખા નીચે ઉગેલી જારના પાક પર પડતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગ પવનચક્કી નંબર 207 પાસેથી શરૂ થઈને બાજુના અન્ય બે ખેતરોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. આસગર ત્રાયા, આવેશ ત્રાયા અને હાજી ઉંમર નામના ગરીબ ખેડૂતોના ખેતરોને વ્યાપક નુકસાન થયું હતું. અંદાજિત 100 એકરમાં ઉગેલી જારને બચાવવા ખેડૂત પરિવારોએ મરણીયા પ્રયાસો કર્યા હતા. આગને કાબુમાં લેવા માટે સ્થાનિક લોકો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેઓએ પાણીના ટેન્કર અને ખોદકામના સાધનોની મદદથી લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં અંદાજિત 3 લાખ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું. ગામના રમઝાન ત્રાયાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગના કારણે તેમના પરિવારના હુસેન ત્રાયાના ખેતરની વાડ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
જૂનાગઢ શહેરા હ્રદયસમા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી હાલ ચાલી રહી છે. 60 કરોડના ખર્ચે થઈ રહેલું બ્યુટીફિકેશન 18 મહિનામાં પૂર્ણ થવાનું હતું પરંતુ, આજે ચાર વર્ષ બાદ પણ પ્રોજેક્ટ અધૂરો છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં એકદમ હલકી ગુણવત્તાનું કામ થયાનો આક્ષેપ થયો છે. બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલી ટાઈલ્સ હાથેથી ઉખેડતા ઉખડી ગઈ હતી. નીચે જોતા સિમેન્ટની જગ્યાએ નકરી રેતી જોવા મળી. વિપક્ષે ભ્ર્ષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. મહત્વનું છે કે, આ પહેલા પણ વિપક્ષ અને સત્તાપક્ષ બ્યુટીફિકેશનની કામગીરીને લઈ સવાલ ઉઠાવી ચૂક્યા છે. તો બીજી તરફ મેયરે ચોમાસાનું બહાનું આગળ ધરી બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, આગામી બે મહિનામાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે ખુલ્લું મૂકાશે. ભાસ્કરની ટીમ જ્યારે તળાવ પર પહોંચી તો કોન્ટ્રાક્ટરે રોકવાનો પ્રયાસ કર્યોનરસિંહ મહેતા સરોવરની નબળી કામગીરીને લઈ વિપક્ષે સવાલો ઉઠાવતા ભાસ્કરે કામગીરીના રિયાલિટી ચેકનો પ્રયાસ કર્યો. ટીમ જ્યારે તળાવ પર પહોંચી ત્યારે કોન્ટ્રાક્ટર હર્ષદ વાઢીયાએ મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ હોવાની વાત કરી. ત્યારબાદ કહ્યું કે, વોટરવર્કસના અધિકારી કહે તો અંદર મીડિયાને પ્રવેશ અપાય છે. બ્યુટીફિકેશનનું કામ પૂર્ણ થાય તે પહેલા જ ટાઈલ્સ ઉખડવા લાગીભાસ્કરે જ્યારે નરસિંહ મહેતા સરોવર પર પહોંચીને કામગીરી જોઈ તો અનેક જગ્યાએ ટાઈલ્સો ઉખડી ગયેલી હાલતમાં જોવા મળ્યું. જે ટાઈલ્સ ઉખડી ગઈ હતી તેની નીચે સિમેન્ટ હોવો જોઈએ તેના બદલે રેતી જ જોવા મળી. હજી તો પ્રોજેક્ટનું લોકાર્પણ નથી થયું તે પહેલા જ ટાઈલ્સ ઉખડવા લાગતા વિપક્ષે પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. નબળી કામગીરીને લઈ વિપક્ષ નહીં સત્તાપક્ષના સભ્યો પણ સવાલો ઉઠાવી ચૂક્યા છેઆ કામગીરીમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો નવા નથી. અગાઉ પણ જુનાગઢ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા આ કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.ખુદ જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ ગત 16/5/2024ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને તળાવના બ્યુટીફિકેશનની કામગીરીને લઇને ગંભીર રજૂઆતો કરી હતી. તેમણે આ કામ ગોકળગતિએ ચાલતું હોવાના અને મનપાના અધિકારી અલ્પેશ ચાવડા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપો કર્યા હતા. ગત 28/6/2024માં તો આ કામગીરી કરતી કંપની અને કોન્ટ્રાક્ટરે કામમાં એટલી ઝડપ બતાવી હતી કે, ચાલુ વરસાદે કોંક્રિટ સિમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું, અને બીજે જ દિવસે જે જગ્યા પર કામ કરવામાં આવ્યું હતું તે રોડ બેસી ગયો હતો. આ બાબતને દિવ્ય ભાસ્કરે અહેવાલ દ્વારા ખુલ્લી પાડતા, તેમને તાત્કાલિક કરેલું કામ તોડી ફરી નવું કામ શરૂ કરવું પડ્યું હતું. તે સમયે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા મનપા કમિશનરનું ધ્યાન દોરીને કામ ગુણવત્તાયુક્ત થવું જોઈએ અને ચાલુ વરસાદે સિમેન્ટનું કામ થાય તે યોગ્ય નથી, તેમ જણાવ્યું હતું. ગોકળગતિએ કામગીરી થાય છે છતા કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કેમ નહીં?- લલિત પરસાણાઆ સમગ્ર મામલાને લઈ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ આક્રોશ વ્યક્ત કરતા દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી માટે 2018માં કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 18 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ ચાર વર્ષ વીતવા છતાં પણ હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આવી એજન્સીને બ્લેકલિસ્ટ શા માટે કરવામાં આવતી નથી તે એક પ્રશ્ન છે.મહાનગરપાલિકાના નિયમ મુજબ જો કામગીરી તેના સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં ન આવે તો તેના પર પેનલ્ટી લગાવવામાં આવે છે, જેના કારણે કામ કરતા કોન્ટ્રાક્ટરો અને કંપની બેદરકારી દાખવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, એટલે જ અહીં પત્રકારોને પણ જવા દેવામાં આવતા નથી. જો સારી કામગીરી થતી હોત તો મનપા આ રીતે ઢાકપીછોળો ન કરત. તેમણે ચેતવણી આપી કે,આગામી જાન્યુઆરી સુધીમાં આ નરસિંહ મહેતા તળાવ ખુલ્લું મુકવામાં નહીં આવે તો ઉગ્ર અને જલદ આંદોલન કરવામાં આવશે અને જૂનાગઢની જનતાને સાથે રાખી સરોવરનું લોકાર્પણ કરી દેવામાં આવશે. બે મહિનામાં નરસિંહ મહેતા સરોવરનું કામ પૂર્ણ કરી દેવાશે- મેયરઆ સમગ્ર મામલે જુનાગઢના મેયરએ પોતાનો બચાવ પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, નરસિંહ મહેતા સરોવર ખૂબ મોટું છે, આ વર્ષે મોન્સૂન પણ લાંબો ચાલ્યો. તેમણે આશા વ્યક્ત કરી કે, ઘણી કામગીરી થઈ ગઈ છે ત્યારે આગામી બે મહિનામાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. મેયરે કહ્યું કે કામ કરતી કંપનીને પણ બોલાવી કહેવામાં આવ્યું છે કે જો હવે સમય મર્યાદામાં કામ પૂરું નહીં થાય તો તેની પાસેથી પેનલ્ટી પણ વસૂલવામાં આવશે. આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારી અલ્પેશ ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, 'હુ આજે રજા પર છું, એક દિવસ રજા હોય તો બીજાને ચાર્જ આપવાનો ન હોય, હા મેં જ કોઈપણને અંદર જવા દેવાની ના પાડી છે. નરસિંહ મહેતા સરોવર હજુ કોઈ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી અને જો કોઈને આવવું હોય તો મહાનગરપાલિકાએ આવી અને પરમિશન લેવી પડે. ત્યાં કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની ? નરસિંહ મહેતા સરોવરના આ સમાચાર પણ વાંચોઃજૂનાગઢના નરસિંહ મહેતા તળાવમાં ભ્રષ્ટાચારનાં પોપડાં ઊખડ્યાં:બ્યૂટિફિકેશન કામગીરીમાં બાંધકામ સમિતિના ચેરમેને જ વીડિયો બનાવી પોલ ખોલી, ટાઇલ્સ હાથમાં આવી ગઈ'CM સાહેબ, તંત્રની બેદરકારી સામે એક્શન લો':નરસિંહ મહેતા તળાવની કામગીરી એક મહિનામાં પૂર્ણ નહીં થાય તો ગત વર્ષ જેવું થશે'; ભાજપના MLAનો મુખ્યમંત્રીને પત્રશું કોન્ટ્રાક્ટરને વરસાદ નહીં દેખાતો હોય?:ધોધમાર વરસાદ વચ્ચે નરસિંહ મહેતા તળાવ પર સિમેન્ટ કોંક્રિટનું કામ કરાયું, બે દિવસમાં જ રોડ બેસી ગયાનો આક્ષેપ
વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો. જે કેસમાં આજે હાર્દિક પટેલ ઉપર ચાર્જફ્રેમ થઈ છે. હવે તેના કેસમાં ટ્રાયલ શરૂ થશે. ધરપકડ વોરંટ બાદ કોર્ટમાં કેસમાં મુક્ત કરવાની અરજી કરી હતીઅગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આ કેસમાં હાજર ન રહેતા તેની સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. આ વોરંટને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં પડકાર્યું હતું. જેમાં તેને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંહેધરી આપતા હાઇકોર્ટે હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ રદ્દ કર્યું હતું. જો કે, ત્યારબાદ હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં કેસમાં મુક્ત કરવાની અરજી કરવામાં આવતી હતી, પરંતુ આજે હાર્દિકે કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડ્યું હતું. પાટીદાર આંદોલન અનામત સમયે પોલીસ સાથે ઝપાઝપી કરી હતીઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓએ પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી, પૂર્વ આયોજિત કાવતરું કરીને કરેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી. તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.
મોરબીની પાર્થ પેપર મિલમાં આગ લાગી:લીલાપર રોડ પર વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળી ગયો
મોરબીના લીલાપર રોડ પર આવેલી પાર્થ પેપર મિલમાં બપોરના સમયે આગ લાગી હતી. મિલના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગને કારણે વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. મોરબી અને આસપાસના વિસ્તારોમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, તેમ છતાં અહીં ફાયરની આધુનિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. ટાંચા સાધનોથી આગ અકસ્માતના સમયે કામગીરી કરવી પડે છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેતીમાં નુકસાન થતા 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી હોવા છતાં સરકાર જાગતી ના હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. જે પણ ખેડૂતોએ આર્થિક દેવાના કારણે આત્મહત્યા કરી તેમના પરિવારને એક કરોડની સહાય ચૂકવવામાં આવે તેવી આપે સરકાર પાસે માગ કરી છે. ખેતીમાં નુકસાન જવાથી 6 ખેડૂતોએ આપઘાત કર્યોઃ ઈસુદાન ગઢવીઆમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોના આપઘાતનો સિલસિલો વધ્યો છે. તાજેતરમાં ખેતીમાં નુકસાન જવાથી 6 ખેડૂતોએ આપઘાત કરી છે. ઘરેણા ગીરવે મૂકીને લોન લીધી હોય એ લોન પણ ચૂકવી શકાય નહીં એવી પરિસ્થિતિના કારણે ખેડૂતોએ આત્મહત્યા કરી રહ્યા છે. સરકારની સહાય પૂરતી ના હોવાથી ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યા બાદ પણ ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપ સરકાર જાગતી નથી. જેથી અમારી માગ છે કે, મૃતક ખેડૂતના પરિવારને સરકાર 1 કરોડની સહાય ચૂકવવામાં આવે. 40થી 50 હજાર કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે, તેની સામે ફક્ત 10,000 કરોડના પેકેજથી શું થશે? ‘ચૂંટણીમાં ખેડૂતો ભાજપના નેતાઓને ગામમાં નહીં ઘૂસવા દે’વધુમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, 3 વર્ષથી શાસન કરનાર પંજાબની AAP સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયા ચૂકવે છે, તો 30 વર્ષથી શાસન કરનાર ભાજપ સરકાર કેમ આટલું વળતર આપતી નથી? ભાજપ સરકારે ઉદ્યોગપતિઓની લાખો કરોડની લોન માફ કરી અને મફતના ભાવે ઉદ્યોગપતિઓને જમીનો આપી તો ખેડૂતોને સહાય આપવામાં સરકારને શું તકલીફ થાય છે? સરકાર ખેડૂતોને વળતર ચૂકવવા માંગતી નથી એટલા માટે અરજીઓનું નાટક કરે છે. ખેડૂતો લૂંટાઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ મગફળીની ખરીદી કરીને માલામાલ થઈ રહ્યા છે. ખેડૂતોના મતે જીતેલા સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓમાં કોઈ આત્મા બચ્યો છે કે નહીં? તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતો ભાજપના નેતાઓને ગામમાં નહીં ઘૂસવા દે.
રાજકોટના વોર્ડ નંબર 15માં આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી સુધીના બિસ્માર રસ્તાઓ અને હાઈવે પરના ખરાબ રોડના લીધે અહીં સ્થિત 500 જેટલી ઇન્ડસ્ટ્રીઝ અને 10 જેટલી સોસાયટીના 5000થી વધુ લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં ડાયવર્ઝન આપ્યો ન હોવાને કારણે લોકોને રોંગ સાઈડમાં પસાર થવું પડે છે અને તેને કારણે ટ્રાફિક પોલીસ દંડ વસૂલે છે. છેલ્લા 15 વર્ષથી અહીં લોકોને પડતી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે આજે કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં સોસાયટીના રહીશો અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સહિતના દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ હતુ. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 15 માં આવતા આજીડેમ ચોકડીથી કોઠારીયા (હુડકો)ચોકડી વચ્ચે આવેલા તમામ વિસ્તારો કે.પી. ઇન્ડસ્ટ્રી ઝોન, એન. બી. ઇન્ડસ્ટ્રીઝ ઝોન, રામનાથ ઇન્ડસ્ટ્રીઝ ઝોન 1,2,3,4 , આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મારુતિ, કિસાન, ધારા, સહજાનંદ, પરમધામ, સુરભી, કેસરીનંદન, નવભારત ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ઓમ ઉદ્યોગનગર, ક્રાંતિનગર ઇન્ડસ્ટ્રીઝ એરીયા, શિવધારા પાર્ક 1,2, હરિઓમ પાર્ક, રામ પાર્ક, શ્રી રાધાકૃષ્ણ સોસાયટી અને હાઈવેની સામેની બાજુ સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મધુરમ, શ્રી હરિ, શિવમ,મીરા ઉદ્યોગ ઝોન ,રાધા મીરા 1,2 ઇન્ડસ્ટ્રીઝ ઝોન અને સુવર્ણ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ આમ અલગ અલગ એરીયા ખોખડદડ નદીના પુલ અને આજી નદીના પુલની વચ્ચે આવેલા છે. વોર્ડ નં.15 ના આ અલગ અલગ વિસ્તારો છે અને હજુ પણ અમુક એરીયા નવા ડેવલપ થવા જઈ રહ્યા છે. આ તમામ વિસ્તારના લોકોને અવરજવર માટેનો હાઇવે બિસ્માર છે અને સર્વિસ રોડ અતિ ખરાબ છે. આ સાથે જ વાહન ચાલકોને દરરોજ માથાના દુઃખાવારૂપ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. અહીં રોડ ઉપર વધુ ખાડા હોવાથી ત્યાં દરરોજ અકસ્માતના બનાવો પણ અનેક વખત બને છે. આ વિસ્તારમાં અવર જવર માટે લગભગ 15 વર્ષથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નથી. વધુમાં જણાવવામાં આવ્યુ છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગનુ નિર્માણ થઇ રહ્યું છે જેને લીધે હુડકો ચોકડીથી આજી ડેમ ચોકડી સુધી અત્યંત ભયજનક રસ્તાઓ હોવાથી સામનો કરવો પડી રહ્યો છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે આ બાજુ આવેલા વિસ્તારમા જવા માટે ન ઇચ્છવા છતા ફરજિયાત રોંગ સાઈડમાં પોતાના વાહનો ચલાવીને પસાર થવું પડે છે. બાળકોને શાળાએ મુકવા-તેળવા ફરજિયાત રોંગ સાઈડમાં પસાર થવુ પડે છે. ખોખડદળ નદીના પુલ ઉપર અંદાજે 2 થી 3 કી.મી. ટ્રાફિક જામ સર્જાય છે. અહીં ખાડાઓને કારણે અકસ્માત થતા પોતાના ઘરના આધાર સ્તંભ એવા સ્વજનોના જીવ ગુમાવવા પડે છે તો પણ કોઈ પણ સરકારી અધિકારીઓનું પેટનુ પાણી પણ હલતું નથી. મહાનગરપાલિકા સ્માર્ટ સીટીના નામે લાખો રૂપિયાનો વેરો ઉઘરાવે છે ત્યારે અહીંના લોકોના પ્રાણ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે. આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર મારફત રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા નજીક નેશનલ હાઈવે નં. 48 પર આવેલા સાવરીયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં દરોડો પાડીને ગાંજાના ચાર છોડનું વાવેતર કરી પાણી-ખાતર આપી માવજત કરતા 3 શખ્સને કપુરાઇ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 13.750 કિલો વજનના લીલા ગાંજાના છોડ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.સી. રાવલની સૂચના હેઠળ પેટ્રોલિંગમાં ફરતા સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે, તરસાલી બ્રિજથી જામ્બુવા તરફ જતા સાવરિયા ઢાબા પાસે જીયો ટાવરની બાજુમાં લોખંડના પતરાંવાળા ખુલ્લા ગેરેજમાં 3 ઈસમ ગેરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનો ઉછેર કરી પાણી-ખાતર આપી માવજત કરે છે અને તેનું સેવન તેમજ વેચાણ કરે છે. આ બાતમીના આધારે કપુરાઇ પોલીસે તુરંત રેડ પાડતાં ગેરેજના કમ્પાઉન્ડના પૂર્વ અને દક્ષિણ દિશાના ત્રિકોણીય ખૂણામાં તારની જાળીની પશ્ચિમ બાજુએ લાઈનમાં વાવેલા 4 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડની ઊંચાઈ અને વિશિષ્ટ વાસને કારણે તે ગાંજાના છોડ હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘટનાસ્થળે હાજર ત્રણેય ઈસમો પાસે ગાંજાના છોડનું વાવેતર કરવા માટે કોઈ પરવાનગી કે પુરાવો માંગતાં તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે એક સગીર સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓ : 1. વિજયકુમાર દુ:ખીરામ ગૌતમ (ઉ.વ. 43), હાલ રહે. સાવરિયા ઢાબા પાસે ગેરેજ, નેશનલ હાઈવે, વડોદરા, મૂળ રહે. પુરે મિશ્રા ગામ, પોસ્ટ-નેબીવારી, તા. હાંડિયા, જિ. પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) 2. કુલદીપ શેરસિંગ જટાન (ઉ.વ. 39), હાલ રહે. સાવરિયા ઢાબા પાસે ગેરેજ, નેશનલ હાઈવે, વડોદરા, મૂળ રહે. સરલ ગામ, પોસ્ટ-તોસામી, તા. તોસામ, જિ. ભિવાની (હરિયાણા) 3. કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર જપ્ત કરાયેલ મુદ્દામાલ : - લીલા ગાંજાના છોડ : 4 નંગ (વજન 13.750 કિ.ગ્રા.) → કિંમત રૂ. 6,87,500/- - 3. મોબાઈલ ફોન
ખંભાળિયામાં એક સીરિયન નાગરિકને વિઝા અવધિ પૂર્ણ થયા બાદ પણ એક વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા ઝડપી પાડવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા SOG પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ મામલે તેને મદદ કરનાર એક શાળા સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલા સીરિયન નાગરિકનું નામ શાખા અલી કામેલ મઈહબ (ઉંમર 29) છે, જે મૂળ સીરિયાના જાબલાહ (જેબલાહ) વિસ્તારનો રહેવાસી છે. તે ભારતમાં વિદ્યાર્થી વિઝા પર આવ્યો હતો, પરંતુ તેની વિઝા અવધિ ઘણા સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં, તે ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્ટ સ્કૂલ સામેની રામેશ્વરદીપ સોસાયટીમાં રહેતો હતો. પોલીસે આ પ્રકરણમાં પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક મહિપત મનજીભાઈ રામજીભાઈ કછટીયા (ઉર્ફે માહી સતવારા, ઉંમર 33) ની પણ અટકાયત કરી છે. મહિપત કછટીયા પણ રામેશ્વરદીપ સોસાયટી, ખંભાળિયાનો રહેવાસી છે. સીરિયન નાગરિકને ગેરકાયદેસર રીતે રહેવામાં મદદ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ SOG અને LCB સહિતની ટીમો રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પરિબળો પર નજર રાખી રહી છે. SOG ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત તારીખ 15ના રોજ સવારે પેટ્રોલિંગ દરમિયાન SOG ટીમને બાતમી મળી હતી કે પ્રેસિડેન્ટ સ્કૂલમાં એક વિદેશી યુવાન શંકાસ્પદ ગતિવિધિઓ સાથે રહે છે. આ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને શાળાના પ્રિન્સિપાલ ઓફિસની એડમિન ક્લાર્કની ઓફિસમાંથી શાખા અલી કામેલ મઈહબને ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને આરોપીઓની વિધિવત રીતે અટકાયત કરીને વધુ તપાસ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ-તવરા માર્ગ પર ભારત પેટ્રોલ પંપ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં સવાર એક મહિલા પણ ઘાયલ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લઈ રહેલી સેન્ટ્રો કાર સાથે તવરા તરફ જઈ રહેલું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. ગંભીર રીતે ઘાયલ મોટરસાયકલ ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર ઈજાગ્રસ્ત મહિલાને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની સંપૂર્ણ ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાનું અભિવાદન:GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા સત્કાર સમારોહ યોજાયો
ગુજરાત સરકારના નવનિયુક્ત ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કૌશિક વેકરિયાનું અમરેલીમાં સન્માન કરવામાં આવ્યું હતું. GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા એક ખાનગી હોટલમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યભરમાંથી PGVCL, UGVCL, MGVCL, DGVCL, GETCO, GSECL સહિત વિવિધ કંપનીઓના લગભગ 500 જેટલા ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ની ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અંજાર અને અમરેલી વર્તુળ કચેરીઓ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરિયા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ઉર્જા વિભાગના વિવિધ કંપનીઓના અધિકારીઓ-કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે:ડિજિટલ ટૂલ્સથી માનસિક આરોગ્યમાં વધારો પર વર્કશોપનું આયોજન
પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ 18 નવેમ્બર, 2025ના રોજ “Digital Tools for Mental Wellbeing” વિષય પર પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં વક્તા જોમી ટી. જોસએ આપ્યું હતું. સવારના 8:30 વાગ્યે શરૂ થયેલ આ માહિતીસભર વર્કશોપમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ દર્શાવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માનસિક આરોગ્યને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી. વર્કશોપ દરમ્યાન જોસે માઇન્ડફુલનેસ એપ્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ ટૂલ્સ, મૂડ ટ્રેકિંગ ટેક્નિક્સ તથા સકારાત્મક ડિજિટલ હેબિટ્સ વિષે સરળ અને રસપ્રદ રીતે સમજાવી વિદ્યાર્થિઓમાં જાગૃતિ ફેલાવી.વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન પ્રો. ડી. બી. બંધિયા તથા પ્રો. માર્ગી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું.
પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક પાંચ દિવસ પહેલાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બાઈક સામે અચાનક શ્વાન આવી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રણજીતજી કાંતિજી ઠાકોરનું પાંચ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પાંચ દિવસ પહેલાં, તા. 13/11/25 ના રોજ બપોરે બની હતી. કિમ્બુવા ગામના વિનુજી કાંતિજી ઠાકોર અને તેમના મોટાભાઈ રણજીતજી બાઈક પર સરસ્વતીના વડુ ગામેથી ડીઝલ લઈને પરત ફરી રહ્યા હતા. તેઓ પાદરડી ગામે તેમના વેવાઈના ઘરેથી રણજીતજીનું બાઈક લેવા જઈ રહ્યા હતા. વિનુજી બાઈક ચલાવી રહ્યા હતા અને રણજીતજી પાછળ બેઠા હતા. કિમ્બુવા હાઈવે પર વડલાથી આશરે અડધા કિલોમીટર દૂર ચારૂપ ગામ જવાના રોડ પર પહોંચતા જ અચાનક એક શ્વાન બાઈકના આગળના ટાયર સાથે ભટકાયું હતું. જેના કારણે બાઈક ચાલક વિનુજીએ કાબુ ગુમાવ્યો અને બંને ભાઈઓ રોડ પર પટકાયા. આ અકસ્માતમાં રણજીતજીને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે વિનુજીને પણ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત રણજીતજીને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવારનો ખર્ચ વધુ હોવાથી તેમને પરત પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતક રણજીતજી કાંતિજી ઠાકોરના ભાઈ વિનુજી ઠાકોરે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુનેરી ગામમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા:અધિકારીઓ બેઠકમાં ગેરહાજર રહેતા ગ્રામજનોમાં રોષ
લખપત તાલુકાના ગુનેરી ગામમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ નિયમિત પાણી પુરવઠાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખરના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી ગામમાં અઠવાડિયામાં માંડ એક વખત અપૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવે છે. આ અંગે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓ સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે બેઠક યોજવા જણાવ્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટર સાથે હાજર રહી ગામની પાણીની સમસ્યા અંગે ચર્ચા કરવાનું વચન આપ્યું હતું. આ મુજબ, રવિવારે સવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખર, ગામના આગેવાનો ભીભાજી જીવણજી, તખુભા વાઘજી, રાણુભા હાલાજી, પુંજાજી પૃથ્વીરાજજી, વિસાજી ખેતાજી, લક્ષ્મણસિંહ બુધુભા તેમજ તલાટી પિયુષભાઈ સહિતના લોકો એકઠા થયા હતા. તેમણે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓની લાંબા સમય સુધી રાહ જોઈ હતી. જોકે, સંબંધિત તંત્રના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સહિત કોઈ પણ જવાબદાર વ્યક્તિ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આગેવાનોએ જણાવ્યું કે અધિકારીઓએ આવવાની તસ્દી લીધી ન હતી અને તેમના ફોન પણ રિસીવ કર્યા ન હતા, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ અંગે દયાપર પાણી પુરવઠા કચેરીના ઇન્ચાર્જ અધિકારી એમ.બી. ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રવિવારના દિવસે ગુનેરી ગામ ખાતે આયોજિત બેઠકમાં હાજર રહેવાની જાણ મળી હતી, પરંતુ તે દિવસે તેઓ બહારગામ હોવાથી પહોંચી શક્યા ન હતા. તેમણે ઉમેર્યું કે અંજારના ટપ્પર નજીક નર્મદાની પાણીની પાઈપલાઈનમાં ખોટકો સર્જાતા લખપતનાં છેવાડાના ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. જોકે, આ પ્રશ્નનો હાલ ઉકેલ લાવવામાં આવ્યો છે અને પાણી વિતરણ શરૂ થઈ ચૂક્યું છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આગામી 20 નવેમ્બર, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ. 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ તથા ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકાશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે હેતુસર સરકાર દ્વારા વડગામ ખાતે 698.05 ચો.મી. જમીન પર અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે. આ લાઇબ્રેરીમાં કુલ 169 વિદ્યાર્થીઓને બેસવાની ક્ષમતાવાળી G+1 ઈમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા 20 હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ કાર્યરત કરાયો છે. રૂ. 9.20 કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ વાતાનુકુલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાઓ થકી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે. આ જિલ્લા રમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબીન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને પણ ખુલ્લું મુકશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ 28329 ચો.મી. જમીન પર કુલ રૂ. 14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોન્ગ જંપ, કબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઉભી કરાઈ છે. આ સાથે જ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે.
વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તુરંત 112 નંબર ઉપર કોલ કરીને ફાયર બ્રિગેડને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના સમયે સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, કચરાને કારણે આગ લાગી છે અને કોર્પોરેશન કચરો લેવા આવતુ નથી. આ ઉપરાંત તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી 112 સેવાને પણ આડેહાથ લીધી હતી. અહીં કોઇ નેતા કે કોર્પોરેટર ફરકતા પણ નથીઃ મનિષભાઈસ્થાનિક મનિષભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અહીં બહારના લોકો કચરો ફેંકી જાય છે, જેના કારણે કચરાનો ઢગલો થઇ ગયો છે. કચરામાં આગ લાગતા બે કાર સળગી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીં સફાઇ કરવામાં આવતી નથી. અહીં કોઇ નેતા કે કોર્પોરેટર ફરકતા પણ નથી. ‘112 નંબરની સેવા એકદમ રોંગ છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નવી શરૂ કરેલી 112 સેવા ફ્રોડ છે. અમે ફોન કરીએ તો કોણ બોલો છો, કેવી રીતે થયું એવા સવાલો કરે છે. 4 વખત ફોન કરીએ ત્યારે રિસ્પોન્સ આપે છે. એના કરતા, 100, 101 અને 108 નંબરની સેવા સારી છે. એને સેલ્યુટ છે, એને ચાલુ રાખો. 112 નંબરની સેવા એકદમ રોંગ છે. માણસ બળીને ખાખ જાય, ત્યારે સેવા મળે તેવી હાલત છે. 112ની સેવા ગુજરાત અને વડોદરાને નથી જોઇતી. 112ને કારણે આજે ફાયરબ્રિગેડની ટીમ મોડી પહોંચી છે. તપાસ બાદ આગનું સાચુ કારણ બહાર આવશેઃ ફાયર વિભાગવડોદરા ફાયર બ્રિગેડના સબ ઓફિસર પ્રતાપભાઈ ડામોરે જણાવ્યું હતું કે, જૂની રાજશ્રી ટોકીઝની સામે મકાનમાં આગ લાગી છે, તેવો કોલ મળ્યો હતો. પરંતુ અહીં પહોંચ્યા, ત્યારે 2 કારમાં આગ લાગી હોવાનું જોવા મળ્યું હતું, જેથી સતત 5 મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને કાર પાર્કિંગ કરેલી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું લાગે છે. તેમ છતાં તપાસ બાદ આગનું સાચુ કારણ બહાર આવશે.
બોટાદ કલેક્ટર કચેરીમાં સરદાર સ્મૃતિ વન બન્યું:સરદાર પટેલની 150મી જન્મજયંતિએ 562 વૃક્ષો રોપાયા
બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'સરદાર સ્મૃતિ વન' તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત કચેરી પરિસરમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનાથી પરિસર વધુ હરિયાળું અને મનોહર બન્યું છે. આ હરિયાળી પહેલ સામાજિક વનીકરણ રેન્જ, બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ, બોટાદના સંયુક્ત આયોજન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, અધિક નિવાસી કલેક્ટર પી.એલ.ઝણકાત, જિલ્લા નાયબ વન સંરક્ષક સરવૈયા, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, 150થી વધુ બાળકોએ પણ 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીને પર્યાવરણ સુરક્ષા સાથે જોડીને સકારાત્મક સંદેશ આપવાનો હતો.
બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 31,895 વિદ્યાર્થીઓ અને 1,685 શિક્ષકો સહિત કુલ 33,580 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ શિબિર અને વ્યાયામ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો અને 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને વેગ આપવાનો હતો. તમામ શાળાઓમાં એકસાથે આ ખાસ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણાયામ, તાડાસન, ત્રિકોણાસન, સૂર્ય નમસ્કાર અને ધ્યાન સહિત દૈનિક સ્વાસ્થ્ય માટે જરૂરી વ્યાયામની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ગુજરાત બોર્ડ સાથે છેડો ફાડવાની તૈયારી કરી રહ્યું છે. સ્કૂલને ગુજરાત બોર્ડમાંથી ટ્રાન્સફર કરીને ICSE બોર્ડ સાથે જોડાણની વિચારણા કરવામાં આવી છે, જેથી હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જેના કારણે આજે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. ICSE બોર્ડમાં લેવા માટે વાલીઓની સંમતિ લેવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં વિદ્યાર્થીઓને વિકલ્પ આપવાની પણ વાત સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે, પરંતુ વાલીઓ ચિંતામાં આવીને કહી રહ્યા છે કે ICSE બોર્ડમાં જાય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન થવી જોઈએ. સ્કૂલ ICSE બોર્ડમાં જોડાશે તો ફીમાં વધારો થશેસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં અત્યારે 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી સ્કૂલ ગુજરાત બોર્ડ હેઠળ ચાલી રહી છે, પરંતુ હવે અચાનક સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડના કારણે ICSE બોર્ડ સાથે જોડાણ કરવાની તૈયારી કરવામાં આવી છે. જેથી વાલીઓ પાસે સ્કૂલને ICSE બોર્ડમાં તબદીલ કરવાને લઇ વાલીઓ પાસે સહીઓ પણ લેવામાં આવી છે. જો કે, અત્યારે ICSE બોર્ડમાં જવાની મંજૂરી લેવામાં આવે તો પણ આગામી 12 વર્ષ સુધી તો ગુજરાત બોર્ડ ચાલુ રાખવું પડી શકે છે. જો સ્કૂલ ICSE બોર્ડમાં સાથે જોડાય તો ફીમાં પણ વધારો થઈ શકે તેવી પણ શકયતા જોવા મળી રહી છે. વાલીઓને વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતાકારણ કે, જે વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં છે, તે વિદ્યાર્થીઓ ICSE બોર્ડમાં જવાનો ઇન્કાર કરે તો જ્યાં સુધી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેમને ગુજરાત બોર્ડ ચાલુ રાખી પડી શકે છે. જો કે, મિટિંગમાં વાલીઓએ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરી હતી. ઘણા વાલીઓની માગ હતી કે, ICSE જેવાં અન્ય બોર્ડના અભ્યાસ કરાવવામાં આવે. અમદાવાદમાં 4થી 5 જેટલા સ્કૂલ ICSE બોર્ડમાં છે, આજુબાજુમાં 5 કિલોમીટર વિસ્તારમાં અન્ય કોઈ સારી સ્કૂલ નથી. જેથી મિટિંગમાં હાજર વાલીઓએ નવું બોર્ડ કેવું હશે તેને લઈને ચિંતા હતી. કારણ કે જો અચાનક સ્કૂલ ICSE બોર્ડમાં જોડાણ થાય તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ શકે છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડ બદલવાનું વિચારીએ છીએઃ મેનેજરસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના મેનેજર ફાધર પેટ્રિક એરોકિયમ જમાવ્યું હતું કે, ICSE બોર્ડમાં જવા માટે વાલીઓ સાથે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. સ્કીલ બેઝ એજ્યુકેશન અને ઇન્ટરનેશનલ ક્વોલિટીના કારણે ICSE બોર્ડમાં જવાનું નક્કી કર્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડ બદલવાનું વિચારીએ છીએ. AI અત્યારે ખૂબ વધી રહ્યું છે, બધા બોર્ડ સારા જ છે પરંતુ વિદ્યાર્થીઓને વિકલ્પ આપવા માંગીએ છીએ. મિટિંગમાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં જોવા મળ્યા હતા. શરૂઆત હોવાથી વાલીઓમાં બધા પ્રશ્નોના ચોક્કસ જવાબ આપી શકતા નથી. ફી અને વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને વાલીઓ ચિંતામાં હતા. ICSE દ્વારા મંજૂરી મળે તો પણ 12 વર્ષ સુધી તો ગુજરાત બોર્ડ ચાલુ રાખવું પડે. ગુજરાત બોર્ડ બંધ કરીને ICSE બોર્ડ લાગુ ન કરવું જોઈએઃ વાલીપ્રવિણસિંહ નામના વાલીએ જણાવ્યું હતું કે, ICSE બોર્ડ લાગુ કરવાની પ્રસ્તાવના આજે વાલીઓ સાથેની મિટિંગમાં મૂકવામાં આવી હતી. ICSE બોર્ડના ફાયદાઓ પણ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યા હતા. પરંતુ અમારું કહેવું એમ છે કે ICSE બોડ લાગુ કરવું હોય તો કરે પરંતુ અત્યારે જે ગુજરાત બોર્ડમાં ભણે છે તેમને કોઈપણ જાતનું નુકસાન ન થવું જોઈએ. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ICSE બોર્ડ લાગુ કરવું જોઈએ. ગુજરાત બોર્ડ બંધ કરીને ICSE બોર્ડ લાગુ ન કરવું જોઈએ. પરંતુ સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડ ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં બાબુલાલની ચાલીથી ભૂંડની ચાલી તરફના રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અને દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટીપી રોડમાં આવતા નાના મોટા કાચા પાકા 96 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવીમ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ અને પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ શહેરના ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં આવતા બાબુલાલની ચાલી પંજાબીની ચાલીથી ભૂંડની ચાલી તરફ રોડ આવેલો છે. જે હાલમાં હયાત 6થી 9 મીટર સુધીનો રોડ છે, આ રોડ ખુબ જ સાંકડો હોવાના કારણે અવરજવરમાં તકલીફ પડતી હતી. રોડ ઉપર વાહનોની અવર-જવર વધારે હોવાથી ટ્રાફિક થઈ જતો હતો જેથી ટીપી રોડને પહોળો કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી. ટીપી રોડ 12 મીટરનો મંજૂર થયેલો છે. જો કે, હયાત રોડ નાનો હોવાના કારણે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 96 દુકાનો અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યુંઆ હયાત રોડ ઉપર આવેલા કોમર્શિયલ અને રહેણાંક બંને મળીને કુલ 96 જેટલા મકાનો છે. નાના-મોટા કાચા પાકા મકાનો જેસીબી વડે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગે મકાનો અને દુકાનોમાં નાનો મોટો ભાગ જ તૂટી રહ્યો છે. આખી દુકાન કે મકાન દબાણમાં નથી. લોકોએ ટીપી રોડ ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો બનાવી દીધા હતા જેથી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 21 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપી હતી. જે બાદ આજે આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો પર રિમાન્ડ આપ્યા ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ફોરેસ્ટ ફોલોની માં રહેતા વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલ્યાએ તેની પત્ની તથા પુત્ર અને પુત્રીની નિર્દેતા પૂર્વક હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો જેને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત શહેરમાંથી ઝડપી લઇ ભાવનગર લાવી ભરતનગર પોલીસને હવાલે કર્યો હતો. આજરોજ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને કોર્ટમાં રજૂ કરી ને 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે શૈલેષના 7 દિવસીય રિમાન્ડ મંજૂર કર્યા છે. આજરોજ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને ભાવનગર ચીફ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી, જેમાં કોર્ટે હત્યારા શૈલેષ ના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસર ખાતે એકઠા થયા હતા. પોલીસ સાત દિવસીય રિમાન્ડ દરમિયાન હથિયારો અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ ઉપરાંત આ હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો હત્યા શા માટે કરવામાં આવી તે સત્ય આરોપી પાસેથી જાણશે. હત્યારાને ફાંસીના માચડે લટકાવવામાં આવે - સમાજ એક સાથે ત્રણ ત્રણ હત્યા કરનાર વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલીયા ને ફાંસીની સજા કરવામાં આવે એવી માંગ રબારી માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે આજરોજ માલધારી સમાજના અગ્રણીઓએ મીડિયા સમક્ષ આક્રોશભેર જણાવ્યું હતું કે, આવું તૃણાસ્પદ અને જઘન્ય કૃત્ય કરનાર હેવાન ને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે કોર્ટ તેમજ જિલ્લા કલેકટરને પણ આ અંગે રજૂઆત કરીને માંગ કરીશું કે, સમગ્ર બનાવનો કે ફાસ્ટ એક કોર્ટમાં ચલાવવામાં આવે અને ઝડપથી ચુકાદો જાહેર કરી સમાજમાં દાખલા રૂપ સજા થાય અને ભવિષ્યમાં આવું કોઈ પણ વ્યક્તિ કૃત્ય ન કરે તેવી દાખલા રૂપ સજા એટલે કે ફાંસી આપવામાં આવે એવી માંગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે.
કુણવદર ગામમાં શોર્ટ સર્કિટથી આગ:દીકરીના પ્રસંગના ₹80,000 રોકડ, સામાન બળી ગયો
કુણવદર ગામમાં વિનુભાઈ બચુભાઈ બારોટના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં દીકરીના લગ્ન પ્રસંગ માટે રાખેલા આશરે ₹80,000 રોકડ અને કન્યાવારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.પરિવારજનોએ દીકરીના લગ્ન માટે ઉછીના લઈને ₹80,000 રોકડા રાખ્યા હતા. આ ઉપરાંત, દીકરીના કપડાં અને ઘરવખરીની તમામ સામગ્રી પણ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે. મકાન માલિક વિનુભાઈ બારોટે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે થોડી જ મિનિટોમાં ઘરનો મોટો ભાગ અને કિંમતી સામાન બળી ગયો હતો. આ ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ છે. સ્થાનિકોએ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારને મદદ મળે તેવી માંગ કરી છે.
લંડન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉજવાયેલ સ્નેહમિલન કાર્યક્રમે વિશ્વ ઉમિયાધામના ભવ્ય નિર્માણ કાર્યને એક ઇન્ટરનેશનલ એનર્જી આપી છે. અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના જગત જનની મા ઉમિયાના ભવ્ય મંદિરના પ્રચાર માટે પ્રમુખ આર.પી. પટેલના નેતૃત્વ હેઠળ 9 સભ્યોનું ડેલિગેશન હાલમાં બ્રિટન પ્રવાસે છે. રવિવારે લંડનના કેપી સેન્ટરમાં યોજાયેલા સ્નેહમિલનમાં ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતામાં પ્રમુખ આર.પી. પટેલે સમાજની એકતા અને યુવા જાગૃતિના મુદ્દાઓ વિશે વાત કરી હતી. માતાજીના મંદિર નિર્માણમાં સક્રિય સહભાગી થવા અપીલપ્રમુખ આર.પી. પટેલે વિશ્વ ઉમિયાધામને “નવમી અજાયબી સમાન ભવ્ય પ્રોજેક્ટ” ગણાવતા જણાવ્યું કે, ડિસેમ્બર 2027માં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને વિશ્વભરના દરેક પરિવાર સુધી “મારી ઈંટ માના મંદિરે” જેવા સંદેશને પહોંચાડવાનું સંકલ્પ લેવામાં આવ્યું છે. દરેક કુટુંબને માતાજીના મંદિર નિર્માણમાં સક્રિય સહભાગી થવાની અપીલ પણ તેમણે કરી. બ્રિટનના વતની પાટીદાર સમાજમાં સારું જોડાણ સર્જાયુંઆ પ્રસંગે ઉપપ્રમુખ ડી.એન. ગોલ, શશીભાઈ વેકરીયા, વેલજીભાઈ વેકરીયા અને સમાજ પ્રમુખ સુરેશભાઈ કણસાગરાએ પણ હાજરી આપી. તેમજ દિનેશભાઈ પટેલ, નરેશભાઈ અને અન્ય આગેવાનોએ પણ માર્ગદર્શન આપ્યું. લંડનના આ કાર્યક્રમથી વિશ્વ ઉમિયાધામ માટે બ્રિટનના વતની પાટીદાર સમાજમાં સારું એવું જોડાણ સર્જાયું છે, જે આગામી વર્ષોમાં મંદિર નિર્માણ માટે મદદરૂપ સાબિત થશે. 9 વર્ષની દીકરીએ મંદિરના નિર્માણ માટે પીગી બેંક દાન કરીબ્રિટનના લંડનમાં સ્થિતિ પટનાયક પરિવારની 9 વર્ષની ધોરણ 4માં અભ્યાસ કરતી દીકરી અદિતી બિભૂતિ પટનાયકે સનાતન ધર્મના પ્રતિક સમા વિશ્વ ઉમિયાધામ મંદિરના નિર્માણ માટે પોતાની પીગી બેંક દાનમાં આપી છે. નાનકડી 9 વર્ષની અદિતીની લાગણીને ધ્યાન લઈ પ્રમુખ આર.પી.પટેલે પીગી બેંકનું દાન સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું છે કે, લોકો કરોડો રૂપિયાનું દાન કરે પણ મુળભુત ઓડિશાના વતની હાલમાં લંડન રહેતા અદિતી પટનાયકે પોતાની પીગી બેંક દાનમાં આપી છે એ ખૂબ મોટી વાત છે.
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સવાર પુત્ર બ્રિજ નીચે પટકાઈ ગયો હતો. જેથી ગંભીરઈજા પહોંચતા જીવ ગુમાવ્યો હતો. કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈઆ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો, જ્યારે પિતા-પુત્ર નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. કાર ચાલક પૂરઝડપે વાહન હંકારી રહ્યો હતો અને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર ગોળ ફરીને બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી. સારવાર બાદ કારચાલકની અટકાયતઆ અકસ્માતમાં બાઈક સવાર પિતાનું બ્રિજ પર જ અવસાન થયું હતું, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા તેનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ કારચાલકની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક પિતા-પુત્ર અને કાર ચાલક આ ત્રણેય મરોલીનાં જ રહેવાસી છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરીઆ ઘટનાની જાણ થતા જ મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મરોલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના નામ કાર ચાલકનું નામ હવે જુઓ અકસ્માતની તસવીરો....
જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પીવા ગયેલા યુવાનને અન્ય જૂથોના ઝઘડાનો ભોગ બનવું પડ્યું છે. ત્રણ શખ્સોએ યુવાનના માથામાં તવીથાથી હુમલો કરતાં તેને ગંભીર ઈજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં માથામાં ટાંકા લેવા પડ્યા છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવની વિગત મુજબ, પુનિત નગર વિસ્તારમાં રહેતો અને મંડપ સર્વિસ ચલાવતો ૨૪ વર્ષીય શક્તિસિંહ ઉર્ફે સંજય વિભાજી જાડેજા પોતાના માસીયાઈ ભાઈ જયપાલસિંહ સાથે નીલકમલ સોસાયટીમાં મંડપ છોડાવવા ગયો હતો. કામ પતાવ્યા બાદ બંને શક્તિ કૃપા નામની ચાની હોટલમાં ચા પીવા માટે ઊભા હતા. તે સમયે હોટલ પાસે બે જૂથો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. એક જૂથના મીત સંજયભાઈ સોઈગામા, તુષાર બારોટ અને જયપાલ નામના શખ્સોએ શક્તિસિંહ અને જયપાલસિંહને વિરોધી જૂથના સભ્યો માની લીધા હતા. આ ગેરસમજને કારણે તેઓએ ચા પીવા આવેલા બંને યુવાનો પર હુમલો કરી દીધો. આરોપીઓએ હોટલમાંથી તવીથો લઈ આવીને શક્તિસિંહના માથામાં ફટકાર્યો હતો, જેના કારણે તેને ઊંડો ઘા પડ્યો અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું. હુમલા બાદ શક્તિસિંહને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથામાં ટાંકા લેવા પડ્યા હતા. તેને હેમરેજ સહિતની અન્ય ઈજાઓ પણ થઈ છે. આ ઘટનાની જાણ થતાં સીટી સી. ડિવિઝનના પીઆઇ એન. બી. ડાભી અને તેમની ટીમ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી હતી. ઇજાગ્રસ્ત શક્તિસિંહ જાડેજાની ફરિયાદના આધારે પોલીસે મીત સંજયભાઈ સોઈગામા, તુષાર બારોટ અને જયપાલ સામે હુમલાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
બનાસકાંઠામાં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે. ખેડૂતોએ 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે, જેના કારણે વજન ઓછું આવે છે. સરકાર દ્વારા 35 કિલોની ભરતીનો નિયમ બનાવવામાં આવતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે. રિજેક્ટ થયેલો માલ ખેડૂતોને ટેકાના ભાવ (₹1452) ને બદલે ખુલ્લા બજારમાં ₹1000 થી ₹1100 માં વેચવો પડે છે, જેનાથી તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકારી કોથળામાં પણ 35 કિલો મગફળી સમાતી ન હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે અન્ય જિલ્લાઓમાં 30 થી 32 કિલોની ભરતી કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠામાં આ સુવિધા ઉપલબ્ધ નથી. તેમણે તાત્કાલિક અસરથી 30 કે 32 કિલોની ભરતીથી ખરીદી શરૂ કરવાની માંગ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો રિજેક્ટ થયેલો તમામ મગફળીનો જથ્થો કલેક્ટર કચેરી સામે ઢગલા કરવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
ભુજ શહેરમાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપરથી ભુજના જુબેલી ગ્રાઉન્ડ સુધી 7 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યુનિટી માર્ચનો મુખ્ય સંદેશ 'હર ઘર સ્વદેશી અપનાવો' હતો. પદયાત્રામાં સત્તાપક્ષના પદાધિકારીઓ, વહીવટી તંત્રના કર્મચારીઓ અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. માધાપરમાં સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી પ્રસ્થાન કરીને આ યાત્રા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા સાથેની આ લોકયાત્રાનું દેશભક્તિના ગીતો સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં ઉપસ્થિત જનસમૂહને સ્વદેશી અપનાવી દેશની તાકાત વધારવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, દેશની અખંડતા માટે અનેક સફળતાઓ મેળવનાર અને પોતાનું જીવન દેશ સેવા માટે સમર્પિત કરનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકોને દેશદાઝ અને સ્વદેશી અપનાવવાનો સંદેશ આપશે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી મામલતદાર કચેરીની ATVT (એક્ટિવિટી) શાખામાં આજે વહીવટી તંત્રની બેદરકારી સામે આવી હતી. મતદાન સુધારણા કાર્યક્રમના બહાને ATVT શાખાના ઓપરેટરો ગેરહાજર રહેતા સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કામગીરી ખોરંભે પડી હતી. જેના કારણે દૂર-દૂરથી આવેલા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, હાલ મતદાન સુધારણા કાર્યક્રમની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે પ્રજાલક્ષી સેવાઓ પર અસર પડી હતી. ATVT શાખાના ઓપરેટરો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને સળંગ ત્રણ કલાક સુધી પોતાની સીટ પરથી ગેરહાજર રહ્યા હતા. પરિણામે, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો કઢાવવા આવેલા તાલુકાના ગ્રામજનો અટવાયા હતા. નોંધનીય છે કે, હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો અને શ્રમિકો પોતાના ખેતરનું કામ અને પાક લેવાનો કિંમતી સમય ફાળવીને, ભાડા ખર્ચીને મામલતદાર કચેરીએ આવતા હોય છે. પરંતુ અહીં અધિકારીઓના અભાવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. અરજદારોની હાલાકી અને લાંબી કતારોની જાણ મીડિયાને થતા મીડિયાકર્મીઓ તાત્કાલિક મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. મીડિયાના કેમેરા અને પ્રશ્નો શરૂ થતાની સાથે જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે એક ઓપરેટરને સીટ પર બેસાડી કામગીરી પુનઃ શરૂ કરાવવામાં આવી હતી.આ ઘટના સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ પ્રત્યેના વલણ અને મીડિયાની ભૂમિકાને ફરી એકવાર ઉજાગર કરે છે.
Explainer: માનવતા પર કલંક ‘સારાયેવો સફારી’, મનોરંજન માટે સામાન્ય માણસોને ગોળીએ વીંધવાનું ટુરિઝમ
Sarajevo Safari: How Foreign Snipers Paid to Kill Civilians for Fun | આધુનિક યુરોપની સૌથી લાંબી ઘેરાબંધીનો સમય એટલે 1992થી 1996. આ ગાળામાં ‘બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના’ દેશની રાજધાની સારાયેવોમાં એક અત્યંત ક્રૂર હત્યાકાંડ થયો હતો. આ ઘટના વિશે અત્યાર સુધી દુનિયાને ખાસ જાણ નહોતી. વાત એવી હતી કે આ યુદ્ધગ્રસ્ત શહેરના નાગરિકોને બંદૂકની ગોળીથી વીંધવા માટે દુનિયાભરના અમીરો ત્યાં આવતા. ‘શિકાર’ના આ શોખીનો સારાયેવોની મુલાકાત લેતા, પૈસા ભરીને એક-બે દિવસ માટે સ્નાઈપર બની જતા અને પછી બંદૂકોથી સામાન્ય નાગરિકોનો શિકાર કરતા. એટલે કે રીતસરનો ‘હ્યુમન સફારી પાર્ક’, જ્યાં અમીરો ફક્ત મનોરંજન માટે નિઃશસ્ત્ર નાગરિકોને વીંધવાનો રોમાંચ માણતા.
Bihar Politics: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં જનસુરાજને મળેલી કારમી હાર બાદ તેના સ્થાપક અને વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે (18મી નવેમ્બર) પટણામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે હાર માટે પોતાને જવાબદાર ઠેરવ્યા હતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કિશોરે સ્પષ્ટ કર્યું હતું કે તે રાજકારણ છોડવાના નથી અને ફરીથી પ્રયાસ કરશે. હારની જવાબદારી લઉં છું: પ્રશાંત કિશોર પ્રશાંત કિશોરે ચૂંટણીમાં મળેલી નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી હતી. તેમણે કહ્યું કે, 'અમે અમારા પ્રયાસોમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.
સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં ત્યારથી સીવણ તાલીમ આપી બહેનો સ્વનિર્ભર થઈ રહેલ છે. મહાત્મા ગાંધીજીનાં તત્કાલીન સ્વદેશી વ્રતની વાત કરીએ કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની ઝુંબેશ જોઈએ... હેતુ સ્વનિર્ભર બનવાનો જ છે. શિશુવિહાર સંસ્થામાં ગોહિલવાડ રાજવી અને તત્કાલિન સામાજિક કાર્યકર્તાઓની દૂરંદેશી કાર્યપ્રણાલીનાં ફળ આજે પણ મળી રહ્યાં છે. ભાવનગરમાં આનંદ મંગળ મંડળ પરિવાર બહેનો દ્વારા શરૂ થયેલ સીવણ તાલીમ વર્ગ ઘણા વર્ષોથી આજે પણ શિશુવિહાર સંસ્થામાં શરૂ છે અને આજસુધીમાં 17 હજાર જેટલાં ભાઈઓ બહેનો સીવણ તાલીમ પામી બન્યાં છે સ્વનિર્ભર બન્યા છે, ત્યારે સ્વાતંત્ર્ય સેનાની બહેનો દુર્ગાબેન ભટ્ટ, સુમનબેન ચાતુર્વેદી, હિરાબેન ભટ્ટ અને લીલીબેન દવે સાથે જેતુબેન કપાસી દ્વારા પારિવારિક જૂથ રચીને આ મંડળની બહેનો માટે સામાજિક પ્રશ્નોને લઈને સહકારી હાટ, ઉત્સવોની ઉજવણી અને અક્ષરજ્ઞાન પ્રવૃત્તિ પ્રારંભ કરેલ. આ જૂથ દ્વારા ડબાના પતરા અને વાંસ વડે એક છાપરા જેવું બનાવાયું અને તેમાં શરૂ થયો સીવણ વર્ગ. અહીંયા 6 સીવણ સંચા શરૂ થયા અને આ બહેનોએ સ્વાવલંબનના પાઠ આરંભ્યાં હતો. ગોહિલવાડ રાજ્ય તરફથી એટલે કે, આપણાં રાજવી કૃષ્ણકુમારસિંહજી દ્વારા વર્ષ 1939માં અપાયેલ જમીન ઉપર સ્થપાયેલ શિશુવિહાર સંસ્થામાં આજે આઠ નવ દાયકાથી સીવણ વર્ગ ચાલી રહેલ છે. આજ સુધીમાં આશરે 12 હજાર બહેનો અને રાત્રી વર્ગથી આશરે 5 હજાર જેટલાં ભાઈઓ તાલીમ લઈ પોતાનાં સીવણ વ્યવસાયમાં લાગેલ છે. સ્વાતંત્ર્ય સેનાની માનભાઈ ભટ્ટ 'માનદાદા' દ્વારા સિંચાયેલ આ સંસ્થાનાં વડા નાનકભાઈ ભટ્ટ દ્વારા અપાયેલ માહિતી મુજબ માત્ર તાલીમ નહીં, નિર્ધારિત લાયકાત ધરાવતાં બહેનોને અહીંયાથી સીવણ સામગ્રી પણ આપવામાં આવે છે. જેમાં 390 બહેનોને આ રીતે રૂપિયા 28 લાખ 15 હજારની સહાય લાભ મળ્યો છે અને પોતાનો સીવણ વ્યવસાય શરૂ કરેલ છે. ગાંધી વિચાર સાથે રહેલ ઉદ્યોગપતિ મણિલાલ છગનલાલ બક્ષી અને સ્વર્ગસ્થ લીલીબેન દવેનાં પરિવારના સહકાર સાથે આજે આ તાલીમ વર્ગમાં 45 જેટલાં સંચા ઉપર બહેનો તાલીમ લાભ લઈ રહેલ છે. ધીરજલાલ દેસાઈ પરિવારના સહકારથી કોઈંબતૂર અને મુંબઈથી બિનઉપયોગી જેવાં કાપડનો જથ્થો મળતાં લાખોની સંખ્યામાં થેલીઓ સીવીને રોજગારી પ્રાપ્ત કરી છે. આમ, સીવણ વર્ગ તાલીમમાં સાથે કપડાંનાં બિન ઉપયોગી ટુકડાઓમાંથી વિશિષ્ટ સુશોભન સામગ્રી તેમજ આકર્ષક થેલીઓનું નિર્માણ થઈ રહ્યું છે. ઉત્તરાયણ ઉપર પતંગની દોરીથી થતાં અકસ્માતો સામે ગળા ઉપર પહેરવાનાં પટ્ટાઓ પણ બનાવવામાં આવે છે, જે સુરક્ષા માટેના આવા પટ્ટાઓ બનાવવામાં આવે છે, વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા શિશુવિહારની આ સ્વનિર્ભર અભિયાનની સીવણ તાલીમ સંદર્ભે સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે, તો બુનિયાદી શાળાઓમાં બહેનોને આ તાલીમ માટે 80 થી વધુ સીવણ સંચા અપાયા છે. સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, જે વર્ષોથી અહીંયા ચાલી રહેલ છે. આ પ્રવૃત્તિનાં માર્ગદર્શક ઈન્દિરાબેન ભટ્ટના નેતૃત્વ સાથે તાલીમ અને સ્વરોજગારીની તક ઉપલબ્ધ થઈ રહેલ છે. આ માટે ગુલાબબેન ગોહિલ તાલીમ આપી રહ્યાં છે અને અહીંયા વિશિષ્ટ કૌશલ્ય તાલીમ પ્રીતિબેન ભટ્ટ દ્વારા મળી રહેલ છે. વર્ષ 2025 અંતર્ગત રુદ્રબાળાબેન મહેતાના સહયોગ સાથે સીવણ તાલીમ વર્ગમાં બહેનો પોતાનું કૌશલ્ય ખીલવી રહેલ છે.

23 C