SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

SIRની અસર:રાજકોટમાં 90,000 મતદાર હયાત નથી, 1,72,000 મળ્યા નહીં: 9000ના નામ બેવડાયેલા

રાજ્યભરમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં 96 ટકા કામગીરી થઇ જતાં હવે SIRની કામગીરી પૂર્ણતાના આરે છે અને આગામી 72 કલાકમાં સમગ્ર જિલ્લાની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ જશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી અને જસદણની 100 ટકા કામગીરી પૂરી થઇ જતાં તેમને ગુજરાતમાં ટોપ ટેનમાં સ્થાન મળ્યું છે. બીજીબાજુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં અનેક વિવાદિત વિગતો પણ બહાર આવી છે. જેમાં 90,000 મતદાર એવા છે જે મૃત્યુ પામ્યા છે અને 1,72,000 મતદાર એવા છે જે મળી આવ્યા નથી અને તેના નામ-સરનામા પણ મળ્યા નથી અથવા અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના એડિશનલ કલેક્ટર નારણ મુછાળના જણાવ્યા અનુસાર જિલ્લામાં કુલ 23,91,027 મતદાર છે. જેમાંથી 22,93,758 મતદારના એમ્યુનિશન ફોર્મ ભરાયા છે. એટલે કે જિલ્લામાં કુલ 95.51 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જિલ્લામાં 90,000થી વધુ મતદાર હવે હયાત ન હોય તેમના નામ મતદારયાદીમાંથી દૂર કરાશે. તેમજ 1,72,000 મતદાર એવા છે કે જે મળી આવ્યા નથી અથવા તો સ્થળાંતર કરી ગયા છે. તેમજ 9000થી વધુ મતદારના બેવડા નામો મળી આવ્યા છે. જિલ્લામાં 3 તાલુકામાં 100 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને જેતપુર તથા રાજકોટ રૂરલ એટલે 71-રાજકોટમાં આગામી 24 કલાકમાં કામગીરી પૂર્ણ થઇ જશે અને રાજકોટ શહેરમાં 2થી 3 દિવસમાં કામગીરી પૂર્ણ થઇ જશે. હજુ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ કુલ કેટલા નામો દૂર કરાયા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:57 am

લાકડાની હેરાફેરી પકડાઈ:બોરીયા પાસે 4.25ના ગેરકાયદે લાકડા ભરેલ ટ્રક ઝડપાઇ

શહેરા તાલુકામાં વન વિભાગ દ્વારા લાકડાની હેરાફેરી થતી અટકાવવા માટે કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે તાલુકાના બોરીયા પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રક પસાર થવાની માહિતી વિભાગને મળતા વન વિભાગમાં ફરજ બજાવતા બી.બી. ગોહિલ, એ.જી. પણદા, અભેસિંગભાઈ ધામોત અને બાબુભાઈ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલી ટ્રક આવતા તેને ઉભી રખાવીને ચાલક પાસે કાગળો માંગતા મળી ન આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે લાકડા અને ટ્રક મળીને કુલ રૂા.4.25 લાખનો મુદ્દામાલ કબજે લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:57 am

સિટી એન્કર:24 લાખનો નંબર, કરોડોની કારમાં ફેન્સી નંબર પ્લેટ લગાવી વરરાજા નીકળ્યા, ટ્રાફિક પોલીસને જોઇ ચાલકે કાર હંકારી મૂકી

શહેરમાં બે દિવસ એક ભવ્ય લગ્નપ્રસંગ યોજાયો હતો, તેના ફુલેકા સહિતના પ્રસંગોની ભારે ચર્ચા થઇ હતી, પરંતુ હવે એક વીડિયો ફરતો થયો છે તેમાં જેના લગ્ન હતા તે વરરાજાની કરોડોની કારે નિયમોનો ઉલાળિયો કર્યો હતો. ફેન્સી નંબર પ્લેટને કારણે પોલીસે કારને ઊભી રાખવા સૂચના આપી હતી, પરંતુ વરરાજાની આ કાર પોલીસને જોઇને ભાગી ગઇ હતી. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બે દિવસ પહેલાં માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ મૈસુરભગત ચોક પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસના અધિકારીઓ સહિતનો સ્ટાફ માઇકમાં વાહનચાલકોને સૂચના આપતા હતા. તે વખતે એક કાર ત્યાંથી પસાર થઇ રહી હતી. કારની નંબર પ્લેટ ફેન્સી હોવાથી ત્યાં ફરજ પર રહેલા પોલીસ સ્ટાફે કારને ઊભી રાખવા ઇશારો કર્યો હતો, પરંતુ કાર ઊભી રહી નહોતી. જેથી માઇક સંભાળી રહેલા પોલીસ કર્મચારીએ શણગારેલી આ કારના ચાલકને સંબોધતાં કહ્યું હતું કે, ‘વરરાજા શ્રી, આવી જાવ, સાઇડમાં કાર ઊભી રાખો, જીજે3પીએમ-1 નંબર છે, નંબર પ્લેટનો વીડિયો ઉતરી ગયો છે, કાર ઊભી રાખી દો’, પરંતુ કારચાલકે કાર ઊભી રાખી નહોતી અને વરરાજા સહિતની કાર હંકારી મૂકી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે કામ કરતાં ચિંતનભાઇ દવે નામના વ્યક્તિ ત્યાં પોલીસની હાજરીમાં ટ્રાફિક અવેરનેસનું કામ કરતાં હતા ત્યારે આ ઘટના બની હતી. આ કાર પ્રકાશભાઇ ચાવડાના નામથી રજિસ્ટર થઇ છે અને આ કારનો 1 નંબર મેળવવા માટે કારમાલિકે આરટીઓમાં રૂ.24.78 લાખ ચૂકવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રકાશભાઇ ચાવડાના પુત્રના લગ્ન બે દિવસ પહેલાં જ યોજાયા હતા અને આ લગ્નનું ફુલેકું રેસકોર્સ રિંગ રોડ પરથી પસાર થયું હતું. આ ભવ્ય ફુલેકું જોવા લોકો એકઠા થઇ ગયા હતા અને વૈભવી લગ્નના સાક્ષી બન્યા હતા. 3 કરોડથી વધુની આ ડિફેન્ડર કારમાં ઇચ્છિત નંબર મેળવવા માટે રૂ.24.78 લાખ ચૂકવ્યા હતા, પરંતુ ફેન્સી નંબર પ્લેટ લગાવી કાયદાનુ ઉલ્લંઘન કર્યું હતું. ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહેલી સંસ્થાના ચિંતનભાઇ કાર ઊભી રાખવા માટે માઇકમાં જાહેરાત કરી હતી અને પોલીસે પણ ઊભા રહેવા માટે નિર્દેશ આપ્યો હતો, પરંતુ વરરાજા સહિતની આ કાર ઊભી રહી નહોતી અને પોલીસની નજર સામે કાયદાનો ભંગ કરી નાસી ગયા હતા. હજુ સુધી આ મામલે પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી. અન્ય નાગરિકો દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવ્યો હોય તો પીછો કરવામાં આવે, વીડિયોના આધારે તેના ઘરે તપાસ કરવામાં આવે, પરંતુ આ કિસ્સામાં ટ્રાફિક પોલીસે હજુસુધી ધૃતરાષ્ટ્ર નીતિ દાખવી હતી જે પણ લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:56 am

ગોધરા શહેરમાં રખડતા કૂતરાનો આતંક:15 લોકોને બચકાં ભર્યાં

ગોધરા તથા આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે સિવિલમાં રખડતા શ્વાન કરડવાના 1 માસમાં 385 જેટલા દર્દીઓ સારવાર કરવા આવ્યા હતા. આમ ગોધરા સિવિલમાં સરેરસ રોજના 13 કેસ રખડતા શ્વાન કરડવાના આવી રહ્યા છે. ગદુકપુરના એક રહીશને જુહુપુરા ખાતે પગના ભાગે ગંભીર બચકું ભર્યું હતું. આ ઉપરાંત, ભામૈયા ગામ સહિત ગોધરા શહેરમાં શ્વાનનો આતંક જોવા મળ્યો હતો. જેમાં કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કૂતરાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ દર્દીઓને તાત્કાલિક અસરથી સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.શહેરમાં માત્ર 1 જ માસના સમયગાળામાં 400થી વધુ લોકોને રખડતા અને હડકાયા શ્વાનોએ પોતાના શિકાર બનાવ્યા છે. એક જ દિવસમાં 15 જેટલા લોકોને કૂતરાઓએ બચકાં ભરતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. પાલિકા દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે. પ્રજનન કાળના લીધે બેચેન બનીને કૂતરાઓ કરડે છેકુતરાઓનો પ્રજનનકાળ ચાલતો હોવાથી તેઓમાં હોર્મોન્સ ચેન્જ થતુ હોય છે. અને તેના કારણે કુતરાઓમાં બેચેની વધી જાય છેે. આ સંજોગોમાં બેચેન બનીને ગુસ્સો કાઢવા કુતરાઓ રસ્તાઓ પર અડચણ બનતા લોકોને બચકા ભરે છે. તેમજ તેને છંડેડતો હોય તો કૂતરાઅો કરડે છે. - ડો.એન.એ.પટેલ,પશુચિ કિત્સક, ગોધરા

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:53 am

દુર્ઘટના:કામરેજમાં પાવરગ્રીડનો 15 મીટરનો ટાવર તૂટી પડ્યો, 7 કામદાર ઘવાયા

સુરત જિલ્લામાં હાલ પાવર ગ્રીડની વીજ લાઇન માટે ટાવરનું કામ જોરમાં ચાલી રહ્યું છે, ત્યારે કામરેજના સેગવા ગામે બુધવારે બ્લોક નંબર 58માં નગીનભાઈ કુંવરજીભાઈ, નીરુબેન કુંવરજીભાઈ અને ધનસુખભાઈ કુંવરજીભાઈ સહિતના ખેતરમાં એક મોટી દુર્ઘટના થતાં થતાં ટળી ગઈ હતી. નવનિર્મિત ટાવર અચાનક તૂટીને નીચે નમી પડતાં તેના પર કામ કરી રહેલા 7 જેટલા મજૂરો નીચે પટકાયા હતા. ઇજાગ્રસ્તોને 108 મારફતે બારડોલીની ટેક્સાસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. સદભાગ્યે, સામાન્ય ઇજા પામેલા કામદારોને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. નસીબજોગ મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ટાવર નમી જવા અંગેનું કારણ અધિકારી પણ જણાવી શક્યા ન હતા. જોકે, ટાવર ધીરે ધીરે નમ્યો હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાના કારણે 13 લાખનું નુકસાન થયું હતું. આ કામગીરી આમ પણ ભારે વિવાદમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:52 am

ACBની કાર્યવાહી:DGVCLમાં 23 વર્ષની નોકરી, 85 હજારનો પગાર છતાં ખેડૂત પાસે વીજ કનેક્શન માટે રૂ. 70 હજારની લાંચ માગી

શહેરના છેવાડે કઠોર DGVCLના સબ ડિવિઝનમાં ફરજ બજાવતા સિનિયર કલાર્ક 70 હજારની લાંચમાં એસીબીની જાળમાં ફસાયો છે. આ કર્મચારી 23 વર્ષથી નોકરી કરતો હતો અને રૂ. 85 હજાર પગાર છે. લાંચની રકમ લેવા માટે કલાર્કએ એક લેબર કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો. જેને પણ એસીબીના સ્ટાફે રંગેહાથ ઝડપી પાડયો છે. બંને લાંચીયાની સામે એસીબીએ ગુનો દાખલ કરી નોંધી ધરપકડ કરી છે. કામરેજ ટોલ નાકાની બાજુમાં સ્વાગત નર્સરી પાસે લાંચની રકમ લેબર કોન્ટ્રાક્ટર લેવા આવ્યો હતો. કામરેજના ખેડૂતે પોતાની માલિકીની જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન મેળવવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. વીજ મીટર લગાવવામાં આવ્યા બાદ સિનિયર કલાર્કે ખેડૂત પાસે લાંચની માંગણી શરૂ કરી હતી. શરૂઆતમાં 1.20 લાખ રૂપિયાની રકમ માંગી હતી. રકઝક બાદ 70 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ દરમિયાન ખેડૂતે સુરત એસીબી કચેરીએ ફરિયાદ કરી હતી. ભાસ્કર ઈનસાઈટ; અન્યોની ભાગબટાઈની આશંકાલાંચની રકમ લેવા માટે કલાર્કએ તેના મિત્ર ભરત સાવલીયાને મોકલ્યો હતો. ભરત લેબર કોન્ટ્રાકટર છે. એસીબીના સ્ટાફે ભરત સાવલીયાને લાંચની રકમ લેતા ઝડપી પાડયો ત્યારે સિનીયર કલાર્ક ફિલ્ડમાં હતો. એસીબીની બીજી ટીમ સિનીયર કલાર્કની વોચમાં હતી. લેબર કોન્ટ્રાકટરે લાંચની રકમ સ્વીકારી કલાર્ક સાથે ફોન પર વાત કરી એટલામાં એસીબીની બીજી ટીમે ફિલ્ડમાંથી કલાર્કને ઊંચકી લીધો હતો. એસીબીના સ્ટાફે 70 હજારની લાંચની વાત કરી તો કલાર્કનો પસીનો છૂટી ગયો હતો. વર્ષ 2025માં લાંચીયા કલાર્ક મારફતે કેટલા વીજ મીટર ઇશ્યુ કરવામાં આવ્યા છે, તેની જો તપાસ એસીબી દ્વારા કઠોર DGVCLના સબ ડિવિઝનમાં કરાવવામાં આવે તો કલાર્કના અન્ય ભોપાળાઓ પણ બહાર આવી શકે તેવી શક્યતા છે. 70 હજાર રૂપિયાની લાંચની રકમમાં અન્ય કર્મચારીઓની પણ ભાગબટાઈ થવાની આશંકા છે. લાંચમાં પકડાયેલા આરોપી

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:51 am

ફરિયાદ:મકાન અપાવવાના બહાને નિવૃત પોલીસ કર્મી સગીબેનના 13 લાખ ચાઉં કરી ગયો

ભરથાણા આશિર્વાદ વિલા સોસાયટીમાં રહેતા નિવૃત એએસઆઇ ગોવિંદ દતાત્રેય લુહારની સગી બહેન વંદના અનિલ ગોરાણી (ઉધના)ને વર્ષ 2019માં મકાન ખરીદવું હોવાથી તેણે ગોવિંદને સંપર્ક કર્યો હતો. ગોવિંદે તેને ભરથાણા આશિર્વાદ વિલામાં મકાન અપાવવાનું કહી 45 લાખમાં સોદો કર્યો હતો. વંદનાબેને45 લાખ ચૂકવી આપ્યા હતા. જોકે ગોવિંદે માલિકને પૈસા નહીં ચૂકવતા સોદો થયો ન હતો. ઘણો સમય થવા છતાં મકાન નહીં અપાવતા વંદનાબેને રૂપિયા પરત માંગ્યા હતા. ગોવિંદે તેમને ટૂકડે ટૂકડે 32 લાખ ચૂકવ્યા હતા. વંદનાબેને બાકીના પૈસાની ઉઘરાણી કરતા ગોવિંદે બહેન બનેવીને ધમકી આપી હતી. આખરે વંદનાબેને ગોવિંદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. આરોપી ગોવિંદ સામે અગાઉ પણ ગુના દાખલનિવૃત એએસઆઇ ગોવિંદ લુહાર માથાભારે પ્રકૃતિ ધરાવે છે. તેની સામે અગાઉ પોતાની જ ભાણી સાથે છેડતી કરવા અને મારમારવાનો તેમજ પોતાની પત્નીને ચપ્પુ મારી હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:48 am

રજૂઆત કે સ્ટંટ ?:ભાજપ સત્તામાં છતાં ભાજપના જ પ્રમુખોનું આવેદન

છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના પ્રમુખે એસઆઇઆરની કામગીરી મુદ્દે કલેક્ટરને આવેદન આપી રોષ વ્યકત કર્યો હતો. ત્યારે તેના ઉગ્ર પ્રત્યાઘાત સ્વરૂપે કોગ્રેસના અગ્રણીઓએ ભારે વિરોધ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગતરોજ કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મતદાર યાદી સુધારણા 2025 કાર્યક્રમમાં મતદારોને પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ કરી હતી. આ આવેદનપત્રમાં વિવિધ મુદ્દાઓ ઉપર માંગ કરવામાં આવી હતી. જ્યારે સરકાર ભાજપની હોય અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું એ આશ્ચર્યની વાત કહેવાય. શું નેતાઓને આ અધિકારીઓ ગાંઠતા નથી ? તેવી અનેક વાતચીત અંદરો અંદર ચાલી રહી છે. પૂર્વ વિરોધ પક્ષ ના નેતા અને કોંગ્રેસના પીઢ નેતા સુખરામભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે, મેં આજે જોયું કે શાસક પક્ષના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને આગેવાનો એ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જે SIR ની કામગીરીમાં મતદારોને મદદરૂપ થવાના બહાના હેઠળ જે આવેદન આપ્યું છે તે એજ બતાવે છે કે, ભાજપના નેતાઓને અધિકારીઓ ગાંઠતા નથી. શાસક પક્ષના નેતાઓનું અધિકારીઓ આગળ કંઇ ઉપજતું નથી તેમ જણાવ્યું હતું. જયારે કોંગેસી નેતા અર્જુન રાઠવાએ, ભાજપે કલેક્ટર ને આપેલા આવેદનપત્ર બાબતે જણાવ્યું હતું કે, ભાજપ જાણી ગઈ છે કે, લોકો ભાજપ સરકાર થી ત્રાસી ગયા છે. તો ત્રાસેલા લોકોનો વોટ લેવો હોય તો વિરોધ કરવો પડે. હાલની ચાલતી કામગીરી થી લોકો નારાજ હોય તો નારાજ લોકોને કઈ રીતે ખુશ કરવાના? એનો કીમિયો અપનાવ્યો છે જે ભાજપનું એક સ્ટંટ છે તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:48 am

ઝુંબેશ:સુરતના દાતાઓ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિનમાં 57.50 લાખ એકત્ર થયા

દેશની રક્ષા માટે દિનરાત ઝઝુમતા સૈનિકોના લાભાર્થે સુરત જિલ્લાની સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓએ સશસ્ત્ર સેના ધ્વજદિન-2024-25ના વર્ષ દરમિયાન રૂા.57.50 લાખ જેટલું ભંડોળ એકત્ર થયુ હતુ. આ ઝુંબેશના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે કલેક્ટર ડો.સૌરભ પારધીએ સૈનિકો-માજી સૈનિકો,આશ્રિતોના શહીદ સૈનિકોના પરિવારો માટે સશસ્ત્ર સેના ધ્વજદિનનો ઉદાર હાથે ફાળો આપનારી સંસ્થાઓનું સન્માન કર્યું હતું. કલેક્ટરએ જણાવ્યું હતું કે, દેશ માટે રક્ષા કાજે સેવા કરતાં સૈનિકો તેમજ શહીદ સૈનિકોના પરિવારો માટે દેશના નાગરિકો, સંસ્થાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, કંપનીઓ યથાશક્તિ યોગદાન આપી શહીદો પ્રત્યેનુ ઋણ અદા કરે છે. આપણા સૈનિકો દેશના સીમાડાઓની રક્ષા કાજે દિન-રાત ઝઝુમતા હોય છે. વીતેલા વર્ષમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવણીમાં સરકારી અર્ધ-સરકારી તેમજ ખાનગીક્ષેત્રો તરફથી સૌથી વધુ ફાળો આપનારા દાતાઓને ટ્રોફી, શિલ્ડ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:48 am

તપાસ:પૂર્વ ડીઇઓની બોગસ સહી અને બંધ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની આશંકા

સુરત ડીઇઓ કચેરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં કાર્યરત જ નહીં પણ બંધ ખાનગી સ્કૂલોની ફાઇલોનો દુરુપયોગ કરીને સ્કૂલોની માન્યતા માટે કરોડોની કમાણી કર્યાનો આક્ષેપ થયો છે. આ કૌભાંડમાં કચેરીના જ પાંચેક કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને ષડયંત્ર ચલાવી રહ્યા હતા. તેઓ પૂર્વ ડીઇઓની બોગસ સહી કરીને વહીવટી મંજૂરીના ઓર્ડર ઇશ્યુ કરતા હતા, તપાસમાં 21 સ્કૂલોમાં ગેરરીતિ મળી છે, 45થી વધારે સ્કૂલો શંકાના દાયરામાં છે, ડીઇઓની તપાસમાં 106 સ્કૂલોના દસ્તાવેજો શંકાસ્પદ મળતા યુડાયસને લોક કરી દેવાયા છે. 5 કૌભાંડી આખું કૌભાંડ આ રીતે ચલાવતા હતા તબક્કો-1: ટાર્ગેટિંગ અને ડીલ તબક્કો-2: બોગસ ઓર્ડર તૈયાર કરવો તબક્કો-3: ડિજિટલ ડેટામાં ચેડા

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:47 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:લિંબાયતમાં રિક્ષામાં બોગસ પ્રચાર ‘SIRનાં ફોર્મ ન ભર્યાં તો આધાર, PAN, રાશન, આયુષ્યમાનના લાભ નહીં મળે’

મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે લોકોમાં વિવિધ ચર્ચાઓ ફેલાઈ રહી છે. હવે, અફવાઓ ફેલાઈ રહી છે કે જો SIR ફોર્મ નહીં ભરાય, તો આધાર કાર્ડ, PAN કાર્ડ, રાશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ સહિત તમામ સરકારી લાભો બંધ કરવામાં આવશે. લિંબાયતમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આવી જાહેરાતો કરવામાં આવી રહી છે. આવી જાહેરાતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, લિંબાયત વિધાનસભા મતવિસ્તારના નીલગીરી અને આસપાસના વિસ્તારોમાં કેટલીક ઓટો-રિક્ષાઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી જોવા મળી હતી. આ ઓટો-રિક્ષાઓ પર કોઈપણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ, બેનર કે ધ્વજ નહોતો. આ ઓટો રસ્તાઓ પર ફરતી હતી અને લાઉડસ્પીકર પર જાહેરાત કરતા હતા કે જો લોકો SIR પ્રક્રિયામાં ભાગ નહીં લે અને ફોર્મ નહીં ભરે તો તેમના આધારકાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ સહિત તમામ સરકારી લાભો બંધ કરવામાં આવશે. આ જાહેરાતોથી લોકોમાં મૂંઝવણ અને ભય ફેલાયો હતો. આ મુદ્દે જ્યારે કલેક્ટરાલયમાં તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આવી કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. SIRનું ફોર્મ ફાઇલ ન કરશો તો ફક્ત મતદાર યાદીના નામ પર અસર થશે બીજું કંઈ નહીં ખોટી માહિતી ફેલાવનાર સામે કાર્યવાહી થશેઆવી કોઈ ઘોષણા કે કાર્યવાહીનો આદેશ જારી કરાયો નથી. આ સંપૂર્ણપણે અફવા છે. SIR એ નિયમિત મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા છે. ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. > ડો. સૌરભ પારધી, કલેક્ટર અને જિલ્લાચૂંટણી અધિકારી કોઈપણ ભ્રામક જાહેરાત પર વિશ્વાસ ન કરો: વહીવટતંત્રજિલ્લા વહીવટીતંત્રે સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોએ કોઈપણ ભ્રામક જાહેરાત પર વિશ્વાસ ન કરવો જોઈએ અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ વહીવટીતંત્ર અથવા પોલીસને કરવી જોઈએ. અજાણ્યા ઓટો ડ્રાઇવરોના હેતુઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભ્રામક જાહેરાતો પાછળનો હેતુ તપાસ બાદ જાહેર કરવામાં આવશેભ્રામક જાહેરાતો કરનારાઓની ઓળખ, તેમને કોણ ચલાવી રહ્યું છે અને આ અફવાઓ ફેલાવવા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે જાહેરાતો એટલા આત્મવિશ્વાસથી કરવામાં આવી રહી છે કે ઘણા લોકો ખરેખર ડરી ગયા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:45 am

બે MLAમાં વિરોધાભાસ:ધારાસભ્ય રાણાએ તાણી દીધેલી ગેરકાયદે દીવાલનો પાલિકા રેકોર્ડ ચકાસવા નીકળી

વરાછામાં દબાણો તોડવા મેયર સહિતનું તંત્ર મેદાને ઉતર્યું છે ત્યારે કોટસફિલ રોડ પર DKM પાછળના રસ્તા વચ્ચે જ દીવાલનું દબાણ વર્ષોથી યથાવત છે. સ્થાનિકો માટે મુશ્કેલીરૂપ આ દબાણ સામે પાલિકા એટલી સક્રિય નથી. ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બુધવારે પાલિકાની ટીમ સ્થળ પર ચકાસમી માટે ગઈ હતી પરંતુ રેકર્ડ પર આ દબાણ છે કે નહીં તેના કાગળો ચેક કરવાના નામે હાથ ખંખેરી દીધા હતા. આટલાં વર્ષ અધિકારીઓ શું કરતા હતાં તે અંગે પણ તેમણે ચૂપકીદી સેવી લીધી હતી. વિભાગે કહ્યું કે, આ દીવાલ 10-12 વર્ષ જૂની હોવાથી કાર્યવાહી પૂર્વે રેકર્ડ પર કાગળ ચકાસાશે. સ્થળ તપાસ દરમ્યાન રોડ વચ્ચે દીવાલ કોણે બાંધી તે માટે આસપાસના લોકો સાથે વાતચીત પણ કરાઇ હતી પરંતુ દીવાલ કોણે અને કયા હેતુએ બાંધી તે હજુ સામે આવ્યું ન હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું. દાઉદી વોહરા ટ્રસ્ટે સરકારી જમીન પર ગેટ મૂકી ગાર્ડ્સ તૈનાત કરી દીધા, મેયરે રસ્તો ખુલ્લો કરાવ્યોસુરત | દાઉદી વોહરા સમાજના દાવત પ્રોપર્ટી ટ્રસ્ટે ઝાંપા બજારમાં પાલિકાની જમીન પર ગેટ લગાવી ગાર્ડ્સ તૈનાત કરતા અન્ય લોકોની અવરજવર અટકી ગઈ હતી. ફરિયાદો મળતાં મેયર દક્ષેશ માવાણીએ તાત્કાલિક ગેટ, બેરિકેડ અને બાઉન્સર દૂર કરવાનો આદેશ આપ્યો હતો, જેથી ટ્રસ્ટે અવરોધો દૂર કરી રસ્તા ખુલ્લા કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:43 am

માટીખનન પર દરોડો:વાગરાના ગલેન્ડા ગામે માટીચોરીનું કૌભાંડ, 1.15 કરોડના વાહનો જપ્ત

વાગરા તાલુકાના ગલેન્ડા ગામે ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદે માટીખનન પર દરોડો પાડયો હતો. ગલેન્ડા ગામમાં માટી ચોરી તથા માટીનું વહન કરવામાં આવી રહયું હોવાની માહિતી મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી . ટીમના દરોડા દરમિયાન સ્થળ પર 3 ડમ્પરો તેમજ એક એસકેવટર મશીન મળી કુલ 1.15 કરોડના વાહનો મળી આવ્યાં હતાં. ટીમે તમામ વાહનો મશીનરીની કસ્ટડી દહેજ પોલીસને સોંપી હતી. જીપીએસના આધારે માપણી કરી અત્યાર સુધી કેટલી માટીનું ખોદકામ કર્યું તેની વિગતો મેળવવામાં આવી રહી છે. ઘટના સ્થળે કરેલાં પંચકયાસમાં તે સ્થળ પર રાજૂ પટેલ નામના એક શખ્સ દ્વારા ગેરકાયદે રીતે માટી ચોરી કરવામાં આવી રહ્યું છે. માપણી પ્રક્રિયાના રિપોર્ટના આધારે તેમને દંડ ફટકારવામાં આવશે. ભરૂચ જિલ્લામાં નવી કંપનીઓ તથા નવા વિકાસ કામો માટે માટીની માગમાં વધારો થયો હોવાથી ભૂમાફિયાઓ સક્રિય બન્યાં છે. સરકારી જમીનો પર બેફામ રીતે માટી ખોદી તેને વેચીને ભૂમાફિયાઓ કરોડો રૂપિયાની કમાણી કરી રહયાં છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:40 am

આયોજન:નવા 12 હજાર PM આવાસો બનાવાશે, DPRની તૈયારી શરૂ

શહેરના દરેક વર્ગના લોકોને પોતાનું ઘર હોય તેવા આશય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવવામાં આવી છે. ગરીબ વ્ય્કિત પણ પોતાના ઘરમાં રહેવાનું સપનું સાકાર કરી શકે તેવા આશય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નજીવા દરે લોકો પોતાનું ઘર લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત સરકારના હાઉસીંગ વિભાગના સચિવ દ્વારા સુરત મહાનગરપાલિકાને વર્ષ 2025-26 માં કુલ 30,000 આવાસ બનાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ લક્ષ્યાંક વધારીને 50,000 આવાસ મંજુર કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત હાલમાં અંદાજીત 12,000 આવાસો ઈડબલ્યુએસ-1 અને ઈડબલ્યુએસ-2 કેટેગરીના ડીપીઆર તૈયાર કરવા માટે કન્સલટન્ટ નિમવા માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવાસો સાકાર કરવામાં આવી રહ્યા છે. અને આજદિન સુધીમાં શહેરમાં લગભગ 29,000 જેટલા આવાસો સાકાર કરી દેવાયા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:40 am

ઘરફોડ ચોરીનો બનાવ:અંદાડામાં એકાઉન્ટ મેનેજરના મકાનને નિશાન બનાવી લાખોના ઘરેણાની ચોરી

અંકલેશ્વર ના અંદાડા માં એકાઉન્ટ મેનેજર ના બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના ઘરેણા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંદાડા ગામના ખોડિયાર નગરમાં મકાન નંબર એ/38 માં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશુતોષ પાંડે ગત તારીખ 29 નવેમ્બર ના રોજ મોડી સાંજે મકાન બંધ કરી અમદાવાદ ગયાં હતાં. આ દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાનો નકૂચો તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરો તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 2 હજાર અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયા હતા. તેઓ તારીખ 1 ડિસેમ્બરના રોજ અમદાવાદ થી પરત આવતાં તેમને ચોરીની જાણ થઇ હતી. તેમણે ઘરમાં જઇને જોતાં સરસામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. બનાવ સંદર્ભમાં તેમણે પોલીસ સ્ટેશનમાં 1.52 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:38 am

ભાસ્કર એક્સક્લૂસિવ:ઠંડીના લીધે ડોગ બાઇટના કેસ 30% વધી જાય છે સિવિલ તથા સ્મીમેરમાં રોજના 55થી વધુ દર્દીઓ

શિયાળાની શરૂઆત થતાની સાથે જ કૂતરા કરડવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો રોજના 30થી વધુ ડોગ બાઈટના કેસ આવે છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ રોજના 20 થી 25 ડોગ બાઈટના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલા ડોગબાઈટના કેસમાં શિયાળાના ત્રણ મહિના દરમ્યાન કૂતરા કરડવાના બનાવોમાં 30 ટકા જેટલો વધારો થતો હોવાનું સામે આવ્યું છે. શિયાળામાં ઠંડી અને ભુખના કારણે કૂતરાઓ આક્રમક થતા હોવાનું તેમજ લોકોને શીકાર બનાવતા હોવાનું પશુચીકીત્સકો જણાવી રહ્યા છે. ઠંડી સમયે જ ભગાડો તો બાઇટ કરે છેઠંડી વધારે હોય તો કૂતરાને પણ શેલ્ટરની જરૂર પડે છે. જો કે, આ સમયે લોકો ભગાડે છે. ઘણી વખત પુરતો ખોરાક ન મળે તો પણ આક્રમક બનીને બાઈટ કરે છે. > ડો. પ્રહ્લાદ ચૌધરી, પશુ ચિકિત્સક આવી રીતે આક્રમક થતા અટકાવાયશહેરની જીવદયા સંસ્થાઓનું પણ માનવું છે કે જો કૂતરાંઓને શિયાળાના સમયમાં શેલ્ટર અને ખોરાક મળી રહે તો તે આક્રમક થતા નથી અને કૂતરાંના કરડવાના બનાવોમાં પણ ઘટાડો થઈ શકે એમ છે. સિવિલ હોસ્પિટલમાં 5 વર્ષમાં નોંધાયેલા ડોગબાઈટના કેસ મહીનો 2024 2025 જાન્યુઆરી 1085 967 ફેબ્રુઆરી 929 837 માર્ચ 1032 899 એપ્રીલ 998 937 મે 946 824 જુન 823 807 મહીનો 2024 2025 જુલાઈ 665 1117 ઓગસ્ટ 679 924 સપ્ટેમ્બર 743 882 ઓક્ટોબર 785 1035 નવેમ્બર 1010 788 ડીસેમ્બર 1033 910

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:37 am

BLOનું કરાયું સન્માન:છોટાઉદેપુરમાં ઉતકૃષ્ટ કામગીરી કરનાર બીએલઓનું સન્માન કરાયું

ભારતના 12 રાજ્યોની 1843 વિધાનસભાઓમા લગભગ 51 કરોડ નાગરિકો માટે ભારતીય ચૂંટણીપંચ દ્રારા સઘન મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરેલ છે. જેમા પ્રથમ તબક્કો 4 નવેમ્બરથી શરૂ થઈ 11 ડિસેમ્બર સુધી બીએલઓ દ્રારા ઘરે ઘરે એન્યુમેરેશન ફોર્મ વિતરણ કરી મતદારો પાસેથી પ્રાથમિક વિગતો ભરી બીએલઓ દ્રારા ઊઘરાવી તેને ઓનલાઇન કરવાની કામગિરી કરવામા આવી રહી છે. જેમા છોટાઉદેપુર જિલ્લામા પણ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન 1050 બુથોમા 842280 મતદારો માટે બીએલઓ દ્રારા એન્યુમેરેશન ફોર્મ વિતરણ કરવામા આવ્યા હતા. જેમા છોટાઉદેપુર જિલ્લાના બીએલઓ દ્રારા 788374 મતદારોના એન્યુમેરેશન ફોર્મ ઓનલાઇન કરી 93.60 ટકા કામગિરી સાથે છોટાઉદેપુર જિલ્લો ગુજરાતમા સઘન મતદાર યાદી સુધારણા અભિયાનમા સાતમા ક્રમે આવ્યો છે. જેમાં જેતપુર પાવી વિધાનસભામા સુપરવાઈઝર તરીકે ઉત્કૃષ્ટ કામગિરી કરનાર પરિમલ ઈન્દ્રપ્રસાદ પટેલ અને મયુરસિંહ ચૌહાણનુ 10 બુથોના બીએલઓને એસઆઈઆરની 100 ટકા કામગિરી કરાવ્યા બદલ જિલ્લા કલેક્ટરસુશ્રી ગાર્ગી જૈને પ્રમાણપત્ર અને સાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતુ.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:37 am

સિટી એન્કર:હજીરામાં કવાસ ચોકડી અને રિલાયન્સ ગેટ પાસે 190 કરોડના ખર્ચે બે ફ્લાયઓવર બનશે, 16 હજાર વાહનોને રોજની રાહત

હજીરા કવાસ ચોકડી પાસે રોજના 16 હજાર વાહનો પસાર થાય છે. ખાસ કરીને કંપનીઓના ભારે વાહનો, ઉપરાંત કર્મચારીઓ અને અસપાસના ગામના લોકો ઉપયોગ કરે છે. આ ચોકડી પર રોજ ટ્રાફિક જામની સમસ્યા રહે છે. સરકારે કવાસ ચોકડી અને રિલાયન્સ ગેટ પાસે 190.69 કરોડ રૂપિયાના ખર્ચે બે ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે રોજના 16 હજાર વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. ચોર્યાસી વિધાનસભાના ધારસભ્ય સંદિપ દેસાઈએ કહ્યું હતું કે, ‘આ વિસ્તારમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતી હતી. તેના નિરાકરણ માટે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર પાટીલને રજૂઆત કરાતાં કેન્દ્રિય પરિવહન મંત્રાલય દ્વારા રોડ બ્રિજ માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.’ આગામી ટૂંક સમયમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરી ફ્લાયઓવરની કામગીરી શરૂ કરાશે. કવાસ પાટિયા અને રિલાયન્સ કંપનીના ગેટ પાસે ફ્લાયઓવર બની જતાં હજીરા વિસ્તારનાં ગામોના હજારો લોકોને મોટી રાહત થઈ જશે. જ્યારે શહેરમાંથી કંપનીઓમાં નોકરીએ જતાં હજારો કર્મચારીઓને પણ ટ્રાફિકજામની સમસ્યાથી કાયમી છૂટકારો મળી જશે. કવાસ, મોરા, દામકા, ભટલાઈ, રાજગરી સહિતનાં ગામોના હજારો લોકોને રોજની ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશેએલ.એન્ડ.ટી, ક્રિભકો, એએમએનએસ, રિલાયન્સ, ગેઈલ, NTPC સહિતની મલ્ટિનેશનલ કંપનીઓ તેમજ એસ્સાર, અદાણી પોર્ટ કાર્યરત છે. આ કંપનીઓમાં કામ કરતા હજારો કર્મચારીઓ અને કન્ટેનર, ટ્રક મળી રોજનાં 16 હજાર વાહનોની અવર-જવર રહે છે. અહીં કવાસ, મોરા, દામકા, ભટલાઈ, રાજગરી સહિતનાં ગામો આવેલા છે. સ્થાનિકો ધુલિયા- હજીરા નેશનલ લાઈન 53નો જ ઉપયોગ કરે છે તેમજ અન્ય રાજ્યોમાંથી માલ-સામાન લઈને કંપનીઓમાં આવતી ટ્રકો અને કન્ટેનરોને પગલે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આ સાથે જે ઘણી વખત ટ્રક ચાલકો રસ્તાની સાઈડમાં મોટા વાહનો પાર્ક કરીને ઉભા રહી જાય છે. જેને કારણે ગંભીર અકસ્માતો વધી ગયા છે. સ્થાનિકો પણ દિવસભર અવર-જવર કરતા હોવાથી ગામમાંથી બહાર નીકળી આવી હાઇવે ઓળાંગતી વેળાં પુરપાટ ઝડપે વાહનોની અડફેટે ચઢી રહ્યા છે. ત્યારે હવે આ બ્રિજથી ટ્રાફિક અને અકસ્માતો અટકશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:36 am

પિથોરા આર્ટ ક્ષેત્રે યોગદાન બદલ એવોર્ડ:મલાજાના યુવાનને અતુલ્ય વારસો આઈડેન્ટિડી એવોર્ડ એનાયત

અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ 2025 - પિથોરા આર્ટ સહિત હેરિટેજ અને સંસ્કૃતિ ક્ષેત્રે અગ્રણી યોગદાન માટે રાજ્યના પ્રતિભાશાળી વ્યક્તિત્વોનું સન્માન કરાયું હતું. જેમાં છોટાઉદેપુરના મલાજાના યુવાન નારણભાઇ રાઠવાને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2 ડિસેમ્બરે ડૉ. આંબેડકર ભવન, સેક્ટર ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુરના યુવાનનું એવોર્ડ આપી સન્માન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અતુલ્ય વારસો ટીમ દ્વારા ઘોષિત અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ 2025 અંતર્ગત રાજ્યભરના હેરિટેજ, કલા અને સંસ્કૃતિ સંવર્ધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિઓનો ભવ્ય સન્માન સમારોહ 2 ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાયો હતો. આ વર્ષે ખાસ ગૌરવની બાબત એ છે કે છોટાઉદેપુરના મલાજા ગામના નારણભાઈ હરિભાઈ રાઠવાને પિથોરા આર્ટ ક્ષેત્રે યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. નારણભાઈ હરિભાઈ રાઠવા વર્ષોથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી પિથોરા આદિવાસી કલાના સંવર્ધન, શિક્ષણ અને પ્રસાર માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ ગણાતી પિથોરા આર્ટને નવી પેઢી સુધી પહોંચાડવા તેઓએ કરેલા પ્રયત્નો પ્રશંસનીય છે. તેમની કલાત્મક રચનાઓએ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં મહત્વનો પ્રભાવ પેદા કર્યો છે. અતુલ્ય વારસો - પરંપરા સંવર્ધન માટેનું રાજ્યવ્યાપી અભિયાન છે (1) 2008થી કાર્યરત Historical and Cultural Research Center દ્વારા સંચાલિત ‘અતુલ્ય વારસો’ હેરિટેજ સંવર્ધનમાં લોકજોડાણ સર્જતું અભિયાન છે. (2) 2013થી ગુજરાતી અને 2024થી અંગ્રેજી ભાષામાં અતુલ્ય વારસો સામયિકનું નિયમિત પ્રકાશન છે (3) “એક કલાક હેરિટેજ શિક્ષણ માટે” અભિયાન અંતર્ગત રાજ્યની અનેક શાળાઓમાં વિનામૂલ્યે હેરિટેજ શિક્ષણ (4) સરકારનાં વિવિધ વિભાગો સાથે હેરિટેજ દસ્તાવેજીકરણ, વોક ડિઝાઇન, સંશોધન અને પ્રકાશન જેવી કામગીરી અને(5) ગાંધીનગર અને અંબાજી ખાતે કચેરીઓ; ધાર્મિક-ઐતિહાસિક પ્રવાસોની આયોજન પરંપરા.(6) 100+ હેરિટેજ સાઇટોની સફાઈ કામગીરી અને 50+ હેરિટેજ ટૂર/ચર્ચાસત્રોનું આયોજન. (7) કલાકારો-કારીગરો માટે સરકારી સહયોગ સાથે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:36 am

સિટી એન્કર:કતારગામમાં 2 દિવસ પહેલાં બનેલા રોડની ટ્રેન્ચ તૂટી જતાં ભૂવો પડી ગયો

ચોમાસામાં તૂટેલા રોડ તાકીદે બનાવવા મુખ્યમંત્રીનો આદેશ હોવા છતાં કતારગામના આશ્રમ રોડ પર નિર્માણના 2 દિવસમાં જ ટ્રેન્ચ બેસી જઈ ભૂવો પડ્યો હતો. જો કે, પાલિકાએ પાણી લાઇનમાં લીકેજ થતાં સેટલમેન્ટ થઈ રોડ બેસી ગયો હોવાનો લૂલો બચાવ પણ કર્યો છે. સુરતના રોડ 2 દિવસ પણ ટકતાં ન હોય તેવી સ્થિતિ સપાટી પર આવતાં ફરી એકવખત રોડ નિર્માણ કામગીરી સામે સવાલ ઊભાં થયાં છે. હજુ તો અંબિકા નગરને કનેક્ટિવ રોડનું કામ પૂર્ણ પણ થયું નથી ત્યાં તો નવા રોડ પર ભૂવો પડ્યો હતો. વેકેશન પૂર્ણ થયું હોવા છતાં કેટલાંક રસ્તા હજુ બિસમાર છે. સ્થાનિકોએ કહ્યું કે, આવી કાર્યપદ્ધત્તિ કરનારા જવાબદારો સામે સખત, શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. સુપરવિઝનનો અભાવરોડ બનાવતા પહેલાં માટીને રેસ્ટિંગ સમય આપી પાણીનો છંટકાવ કરવાનો હોય છે. આ દરમ્યાન ભૂગર્ભ લાઇન પણ ચેક કરવી પડે. સુપરવિઝનના અભાવે લોડર મશીનના પ્રેશરથી પણ લાઇન તૂટે છે. > ડો. પંકજ ગાંધી, સિવિલ એન્જિ., CEPT અમદાવાદ

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:35 am

બોડેલી નગર પાલિકાની વોર્ડ રચના જાહેર:7 વોર્ડ અને 28 સભ્યો ચૂંટાશે

બોડેલીને નગર પાલિકાનો દરજ્જો મળ્યા પછી હવે નગરની વોર્ડ રચના જાહેર થતા રાજકીય આગેવાનોમાં હલચલ મચી છે અને ઠંડી વચ્ચે બોડેલી નગર માં રાજકીય ગરમાવો આવ્યો છે. પાંચ ગ્રામ પંચાયતોને ભેળવીને નગરપાલિકા બન્યા પછી વિસ્તારનું રાજકીય વર્તુળ મોટું થયું છે. બોડેલી, અલી ખેરવા, ઢોકલીયા, ચાચક અને ઝાખરપુરા પંચાયતના કુલ વસ્તી 28353 છે અને બોડેલી નગર પાલિકા માં કુલ 7 વોર્ડ ની રચના કરી છે જેમાં એક વોર્ડ માં ચાર ચૂંટાયેલા સભ્યો મળી ને કુલ 28 સભ્યો નગર પાલિકા માં સત્તા સંભાળશે. જેમાં 14 સામાન્ય બેઠકો, 8 પછાત વર્ગ ની બેઠકો, 5 અનુ. આદિજાતિ અને 1 અનુ. જાતિ માટે બેઠકો અનામત રાખી છે. પાંચેય પંચાયતો ના વિસ્તાર ને સાત વોર્ડ માં અલગ અલગ ફાળવી દેવાતા ચર્ચા એ વેગ પકડ્યો છે. 21 નવેમ્બરે વોર્ડ રચના જાહેર થયા પછી10 દિવસ વાંધા સૂચનો માટે આપ્યા હતા. જેમાં 1 લી ડિસેમ્બર સુધી કેટલાક વાંધા સૂચનો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાત ટૂંકી અને ઝાઝા વેશ ની જેમ ભાજપ અને કોંગ્રેસ માં મર્યાદિત સભ્યો ચૂંટણી લડે તેવી શક્યતા વચ્ચે અપક્ષો અને ત્રીજો પક્ષ ઉભો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. હાલ SIR ની ચાલતી પ્રક્રિયા અને ત્યારપછી પરીક્ષાઓ ના માહોલ પછીબોડેલી નગર પાલિકાની ચૂંટણી જાહેર થાય તેમ હાલ તો દેખાઈ રહ્યું છે. SIR અને પરીક્ષાઓ પછી ચૂંટણી યોજાઈ શકે છે બોડેલી નગર પાલિકાની વોર્ડ રચના થયા પછી હવે ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે, જોકે હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ફેબ્રુઆરી પછી બે મહિના પરીક્ષાઓના હોય સંભવત એપ્રિલ કે મે મહિના માં ચૂંટણીઓ આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:33 am

આયોજન:રાજ્યમાં 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે

રાજ્યમાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અસરકારક રીતે ચાલી રહી છે. 11 ડિસેમ્બર સુધી આ તબક્કો થશે. 16 ડિસેમ્બરે રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે. મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ બુધવારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ભાજ, કોંગ્રેસ, આપ સહિતના પ્રતિનિધિઓને મતદાર યાદીની સુધારણા પ્રક્રિયાની હાલની સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે હાલ 82.85 ટકા કરતાં વધુ ગણતરી ફોર્મની ડિજિટલાઈઝેશનની પૂર્ણ થઈ ચૂકી છે. અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોમાં ફોર્મની ડિજિટલાઈઝેશન કામગીરી ઝડપથી ચાલી રહી છે. 50 હજારથી વધુ બીએલએ મતદાર યાદી સુધારણામાં મદદ કરી રહ્યા છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં વસતીની જટિલતા ધ્યાનમાં રાખીને રાજ્યમાં 30 હજારથી વધુ સ્વયંસેવકોની નિમણૂક કરાઈ છે. આગામી તબક્કામાં બીએલએની ભૂમિકા મહત્ત્વની રહેશે, રાજકીય પક્ષોને વધુમાં વધુ બીએલએ નિયુક્ત કરવા અનુરોધ કરાયો. મતદારોની મુઝવણ દૂર કરવા નવેમ્બરમાં 6 દિવસ કેમ્પ યોજાયો હતો જેમાં 50 લાખથી વધુ લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. ગણતરી ફોર્મ આપી ન શક્યા હોય તો ફોર્મ 6 ભરી 15 જાન્યુઆરી પહેલા સબમિટ કરશે તો નામ સામેલ થશેજેમના નામ ડ્રાફ્ટ યાદીમાં ન હોય તેમની યાદી તથા કારણો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અને મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પર જાહેર થશે.જેઓ ગણતરી ફોર્મ આપી ન શક્યા હોય તેઓ ફોર્મ 6 ભરી 15 જાન્યુઆરી 2026 પહેલા સબમિટ કરશે તો તેમના નામ અંતિમ યાદીમાં સામેલ થશે. ત્યાર બાદ પણ ફોર્મ 6/8 કોઈપણ સમયે ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે, તેમના નામો ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ઉમેરાશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:31 am

વસઈ-વિરારમાં 52000 ડુપ્લીકેટ મતદારોને શોધવા ટીમો રચાઈ

વોર્ડવાર 6 6 કર્મચારીઓની ટીમ ડુપ્લીકેટ મતદારોને અલગ તારવશે બે સ્થળે નામ ધરાવતાં મતદારો એક જ સ્થળે મતદાન કરે તે સુનિશ્ચિત કરાશેઃ વાંધાઓની સુનાવણી બાદ 22મી ડિસેમ્બરે અંતિમ યાદી મુંબઇ - મતદાર યાદીમાં મૂંઝવણ અને ડુપ્લિકેટ નામોને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા વોર્ડમાં મતદારોના ડુપ્લિકેટ નામો હોવાનું બહાર આવ્યું છે. ૨૯ વોર્ડમાં, લગભગ ૫૨,૩૭૮ મતદારોના નામ યાદીમાં ડુપ્લિકેટ છે અને મ્યુનિસિપલ વહીવટીતંત્રે તે મતદારોને શોધવા માટે ટીમો નિયુક્ત કરીને કામ શરૃ કર્યું છે.

ગુજરાત સમાચાર 4 Dec 2025 5:30 am

ખેડૂતો માટે સારા સમાચાર:છોટાઉદેપુર જિલ્લાને 2727 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવાયો

છોટાઉદેપુર જિલ્લાને 2727 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો હતો. રવિ ઋતુમાં ખેડૂતોને જરૂરી યુરિયા ખાતરનો જથ્થો સમયસર ઉપલબ્ધ થઇ રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને તાત્કાલિક 2727 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે. જેમાં રણોલી રેક પોઈન્ટ ઉપરથી જી.એન.એફ.સી કંપનીનો 827 મેટ્રિક ટન, ભરુચ રેક પોઈન્ટ ઉપરથી જી.એસ.એફ.સી કંપનીનો 400 મેટ્રિક ટન તેમજ પ્લાન્ટ ઉપરથી 400 મેટ્રિક ટન અને રણોલી રેક પોઈન્ટ ઉપરથી ઇફ્ફો કંપનીનો 1100 ટન એમ કુલ 2727 મેટ્રિક ટન જથ્થો આ અઠવાડિયામાં ફાળવી આપવામાં આવ્યો છે. તે પૈકી 1460 ટન જથ્થો સપ્લાય કરી દેવામાં આવેલ છે અને બાકીનો 1267 ટન જથ્થો આગામી 3 દિવસમા સપ્લાય કરી દેવામાં આવનાર છે. તેમજ કૃભકો કંપની તરફથી પણ બાય રોડ યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવાનું ચાલુ છે. તેમજ જિલ્લાના તમામ ખેડૂતોને જરૂરિયાત મુજબનું પૂરતું ખાતર મળી રહે તે માટે ડીસેમ્બર માસ માટે કુલ 10000 મેટ્રિક ટન યુરિયા ખાતરની ડીમાંડ કરાઈ છે. આથી તમામ ખેડૂતોને હાલ તેમની જરૂરિયાત જેટલું જ ખાતર ખરીદ કરવા નાયબ ખેતી નિયામક (વિ) કચેરી તરફ થી વિનંતી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:29 am

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ માહિતી આપી:23.02 લાખ સાઇબર ફરિયાદમાં રૂ.7,130 કરોડ ઠગાતા બચાવાયા

ગુજરાત સહિત દેશભરમાં વધી રહેલા સાઇબર ક્રાઇમને અંકૂશમાં લેવા માટે સરકારે 2021માં 14 સી હેઠળ સિટીઝન ફાઇનાન્સિયલ સાઇબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસટમ લોન્ચ કરી હતી. જેના અમલ બાદથી દેશમાં 23.02 લાખ ફરિયાદો નોંધાઇ. જેમાં 7,130 કરોડ થી વધુની રકમ ઠગાતા બચાવાઇ છે. આ માહિતી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સંસદમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારે આપી હતી. પરિમલ નથવાણીએ મંત્રીના ઉલ્લેખથી જણાવ્યું કે બેન્કો, નાણાકીય સંસ્થાઓના સહકારથી સરકારે 10-9-24ના રોજ સાઇબર ગુનેગારોની ઓળખ જાહેર કરતી રજિસ્ટ્રી લોન્ચ કરી હતી. જેના થકી સાઇબર ઠગોના 24.67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ ઓળખી કાઢી 8031 કરોડ રૂપિયાના ટ્રોન્ઝેક્શન ડિક્લાઇન કરવામાં આવ્યા છે. 11.14 લાખથી વધુ સિમકાર્ડ IMEI બ્લોક કરાયાઆ સિસ્ટમની માહિતી આપતી તેમણે જણાવ્યું કે સરકારના 14 સી ખાતે એક અત્યાધુનિક સાઇબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (સીએફએમસી)ની સ્થાપના કરાઇ છે. જ્યાં અગ્રણી બેન્કો, નાણાકીય સંસ્થાઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ, આઇટી ઇન્ટરમિડિયેટરીઝ અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ સાબઇર ગુનાખોરીને ડામવા સહયોગ સાથે ત્વરિત કાર્વાહી કરી રહ્યા છે. તેથી અત્યાર સુધી પોલીસના રિપોર્ટ આધારે 11.14 લાખથી વધુ સિમકાર્ડ અને 2.96 લાખથી વધુ આઇએમઇઆઇ બ્લોક કરી દીધા છે. જ્યારે સિસ્ટમની મદદથી 16,840 સાઇબર આરોપીઓની ધરપકડ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:29 am

તસ્કરી:ગોડાઉનમાંથી કર્મચારી 3.74 લાખનાં 1496 શર્ટ ચોરી ગયો

ઘીકાંટા ખાતે કર્ણાવતી પ્લેટીનિયમમાં આવેલ બી.એલ.ગારમેન્ટ શર્ટના હોલસેલની દુકાનના ગોડાઉનમાંથી કર્મચારીએ રૂ.3.74 લાખના 1495 શર્ટની ચોરી કરી હતી. આ અંગે દુકાનના માલિકે સીસીટીવ ફુટેજ ચેક કરતાં કર્મચારી રોહિત જગતીયા ચોરી કરતો નજરે પડ્યો હતો. બનાવ અંગે દુકાનના માલિક ઘોડાસરમાં રહેતા 36 વર્ષીય હિતેશ પટેલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 26 નવેમ્બરના રોજ સવા અગિયાર વાગે તેઓ પોતાની દુકાનમાં બેઠા હતાં, ત્યારે વેપારી મિત્ર રાજેન્દ્રસિંહ ચુડાવતે તેમને ફોન કરીને તેમની દુકાને બોલાવ્યો હતો. મિત્રએ જાણ કરેલી કે, સવારે 9 વાગે તમારું ગોડાઉન ખુલ્લું હતું અને તમારે ત્યાં નોકરી કરતો રોહિત ગોડાઉનમાંથી શર્ટના કાર્ટુનો લઇ જતો હતો. આ વાત સાંભળીને મિતેશે તરત જ દુકાનનાં સીસીટીવી ફુટેજ તપાસતા રોહિત શર્ટના કાર્ટુનોની ચોરી કરીને જઇ રહેલો નજરે pપડ્યો હતો. આ બનાવ અંગે દુકાનદારે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવે વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:27 am

ભાસ્કર વિશેષ:આજે માગસર સુદ પૂનમ, તિથિનો ક્ષય હોવા છતાં વ્રતની પૂનમ મનાવાશે, સત્યનારાયણની કથાના વાચન વિશેષ દિવસ

આજે માગસર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેય જયંતી. આ વખતે પૂનમનો ક્ષય છે છતાં શ્રદ્ધાળુઓ વ્રતની પૂનમ ઉજવશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલ કહે છે, માગસર સુદ પૂનમે ભગવાન વિષ્ણુના પૂજન સાથે ભગવાન સત્યનારાયણની કથાના વાચન અને પ્રસાદ વિતરણનું માહાત્મ્ય હોય છે. આ પૂનમે ત્રિદેવના અંશસમાન ગવાન દત્તાત્રેયનો જયંતી હોવાથી દત્ત મંદિરોમાં દત્ત ચાલીસા, દત્તજપ, ગુરુચરિત્ર પાઠનું પઠન કરવાથી બ્રહ્મા-વિષ્ણુ-મહેશની એકસાથઃ કૃપા પ્રાપ્ત થાય છે. નોકરી-ધંધામાં ઉન્નતિ માટે આજે એકટાણું કે ઉપવાસ કરવાથી વિશેષ લાભ મળે છે. બ્રાહ્મણને સફેદ કે પીળી વસ્તુ સાથે વસ્ત્રનું દાન કરવાનું માહાત્મ્ય પણ શાસ્ત્રોમાં વર્ણિત છે. મહાસતિના કૂખે ત્રિદેવે જન્મ લીધો ‘શ્રીમદ્ ભાગવત્’માં આલેખાયેલા દત્તાત્રેય ચરિત્રમાં ભગવાન દત્તાત્રેયના જન્મ, કર્મનુઅઅં વર્ણન છે. નડિયાદનો બ્રહ્મર્ષિ હંહ્કૃત પાઠશાળાને પ્રધાનાચારૂય ડૉ. અમૃતલાલ ભોગાયતા એ વિશે કહે છે, ઋષિ અત્રિ અને મહાસતિ અનસુયા બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને દેવાધિદેવના ધ્યાનમાં મગ્ન હતાં. આથી લક્ષ્મીજી અને માતા પાર્વતીએ ઈર્ષ્યાવશ ત્રિદેવને ઋષિયુગલની પરીક્ષા કરવા કહ્યું. ત્રિદેલ સતિ અનસૂયા પાસે ગયા અને સ્નાનાદિ ક્રિયા પછી નિર્વસ્ત્ર થઈને ભોજન કરાવવા કહ્યું. મહાસતિએ વિનંતિ સ્વીકારી અને ત્રણેય દેવો પર પાણીનો છંટકાવ કર્યો, ત્યાં દેવો બાળસ્વરૂપ થઈ ગયે પછી સતિ અનસુયાએ સ્તનપાન કરાવ્યું. એ પછી દેવીઓ અને ઋષિ અત્રિ ત્યાં પહોંચ્યા. ઋષિએ દેવોને પુનઃ મૂળ સ્વરૂપ આપ્યાં અને અવતરણ કરવા વિનંતિ કરી. ત્રિદેવે પ્રાર્થના સ્વીકારી અને સતિ અનસુયાની કૂખે જન્મ લીધો. એટલે દત્તાત્રેયને ત્રણ મુખ, છ હાથ છે. બ્રહ્માજીની જેમ જ્ઞાનનું સર્જન, ભગવાન વિષ્ણુની જેમ જ્ઞાનનું જતન અને હમેશ્વરનો જેમ અજ્ઞાનનો નાશ, આ ત્રણેય ગુણનાં ભગવાન દત્તાત્રેયમાં દર્શન થાય છે. પ્રકૃતિને ગુરુ બનાવવાના પ્રથમ ઉપદેશક ગુરુ દત્તાત્રેયે સૌપ્રથમ પ્રકૃતિને ગુરુ બનાવવાનો ઉપદેશ આપ્યો હતો. અને એ રીતે પ્રકૃતિનું જતન કરવાની શીખ આપી હતો. જળ, વાયુ, સમુદ્ર, આકાશ, સૂર્ય, મધમાખી, પિંગળા, ભમરો, ચન્દ્ર, હરણ, કુમારિકા, અજગર, બગલો, કરોળિયો, કબૂતર, હાથી, પતંગિયું, એવા 24 ગુરુ એમણે બનાવ્યા હતા. ગિરનારમાં દત્તાત્રેય ભગવાનનું પ્રાચીન મંદિર તથા તેમની પરિક્રમા કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:26 am

ભાસ્કર એક્સક્લુસિવ:બીએલઓ માટેનું વળતર નક્કી પણ‎સહાયકો હજી વળતર માટે નિ:સહાય‎

ભરૂચ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી હવે પૂર્ણ થવા તરફ જય રહી છે. ત્યારે હાલ બીએલઓને કેટલાક સહાયકો ફાળવવામાં આવ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે કેટલાક બીએલઓ અને સહાયકો સાથે વાતચીત કરીને હાલની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, સહાયકો ફાળવતા બીએલઓની કામગીરી ઝડપી બની છે. પરંતુ કેટલાક લોકો ફોમ પરત આપી નહીં જતાં બીએલઓ લિસ્ટ બનાવીને તેમના ઘરે ઘરે જઈને ફોમ પરત લેવાની કામગીરી કરી રહ્યા છે. તો બીજી તરફ એક સહાયકે જણાવ્યુ હતું કે, બીએલઓ માટે વળતર નક્કી કરવામાં આવ્યું પણ સહાયક માટે વળતરની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અને બીએલઓ તમામ કામગીરી સહાયક પાસે દબાણ કરીને કરાવવામાં આવે છે. તેવું જણાવવામાં આવ્યું હતું. એક બીએલઓએ કામગીરી માટેના 50 જેટલા ફોર્મ ભરીને ઓનલાઈન કરવા માટે મામલતદાર માં આપ્યા ને 11 જેલા દિવસ વિત્યા છતાં ઓનલાઈન કરવામાં આવ્યા નથી તેવી માહિતી આપી હતી. હાલ 2002 ની યાદીમાં નામ, માતા-પિતા કે દાદા-દાદીની નામ નહીં હોય તો જન્મ પ્રમાણપત્ર સહિત 12 પુરાવામાં થી એક પુરાવો ફરજિયાત માગવામાં આવ્યો છે. સહાયક: ઉપરથી સહાયક તરીકે તમામ કામગીરી મારી પાસે કરાવવામાં આવે છેમને સહાયક તરીકે મૂકવામાં આવી છે પણ સહાયક તરીકેના કોઈ હુકમ આપવામાં આવ્યા નથી. ફક્ત ફોન કરીને જણાવવામાં આવ્યું હતું. ઉપરથી સહાયક તરીકે મુક્તા બીએલઓ બધું કામ મારી પાસે કરાવે છે. અને બીએલઓને ઉપરથી કામગીરી માટે દબાણ કરતાં બીએલઓ મને કામગીરી માટે દબાણ કરી રહ્યા છે. બીએલઓ-2: સહાયકો આપતા કામ‎ઝડપી બનતાં 96 ટકા કામગીરી પૂર્ણ‎એસઆઈઆરની કામગીરી માટે શરૂઆતમાં ઘણી તકલીફ પડી હતી. પણ સહાયકો આપતા કામ ખૂબ ઝડપી બનતા 96 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલ જે લોકોના નામ, વાલીના નામ કે દાદા-દાદીના નામ 2002ની યાદીમાં નહીં હોય તેમની પાસે પુરાવા લેવા માટે કહેવામા આવ્યું છે. કામગીરી માટે દબાણ કરવા આવતું નથી જેથી રાત્રિના ઊંઘ પણ સારી આવી રહી છે. સરકારે સહાયકોની ફાળવણી કરતાં સરની કામગીરી ઝડપી બની‎બીએલઓની કામગીરી માટે અમને સહાયકો ફાળવ્યા છે જે અમને મદદ રૂપ થઇ રહ્યા છે. જેના કારણે કામગીરી ઝડપી બની છે. 2002ના લિન્ક વગરનાનું જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત માગવામા આવ્યું છે. જેથી લોકોને અમે ફોન કરીને પ્રમાણપત્ર માગી રહ્યા છે. લોકો ફોર્મ આપવા આવી રહ્યા નથી જેથી તેઓની લિસ્ટ બનાવીને ઘરે ઘરે જઈને ફોર્મ લાવવા પડશે. ઉપરથી 4 ડિસેમ્બર સુધી કામગીરી પૂરી કરી આપવા માટે જણાવવામાં આવ્યું છે. થય શકે તેમ લાગતું નથી હજુ 226 જેટલા ફોમ લેવાના બાકી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:26 am

ભાસ્કર એનાલિસિસ:બેચલર ઓફ આર્કિટેક્ટ: છેલ્લાં પાંચ વર્ષમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા 23 ટકા સુધી વધી

એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ હાથ ધરેલી બેચલર ઓફ આર્કિટેક્ટ(બી આર્ક)ની શૈક્ષણિક વર્ષ 2025-26ના વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં છેલ્લા પાંચ વર્ષોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સંખ્યામાં નોંધપાત્ર વઘારો થયો છે. પ્રવેશ મેળવનારા છોકરા- છોકરીઓમાંથી પણ છોકરીઓમાં પ્રવેશને લઈને વિશેષ ઝોક જોવા મળી રહ્યો છે. ક્રિએટિવ સેટિસફેક્શન અને વ્હાઈટ કોલર સોફ્ટ બ્રાન્ચ હોવાના કારણોસર પ્રવેશમાં છોકરાઓની તુલનાએ છોકરીઓનું પ્રમાણ વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 5 વર્ષો 2021થી 2025 દરમ્યાન હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવનારી છોકરીઓની ટકાવારી વધીને 54 ટકાથી 60 ટકા સુધી પહોંચી છે. જ્યારે 2021થી 2025ના વર્ષમાં છોકરાઓ- છોકરીઓની ઓવરઓલ પ્રવેશની ટકાવારી 61 ટકાથી વધીને 85 ટકા સુધીની થઈ ગઈ છે. એસીપીસીએ 20 જેટલી આર્કિટેક્ટ કોલેજોની 1232 બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી હતી. જે અંતર્ગત કુલ 1051 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતા પ્રવેશની ટકાવારી 85 ટકાની થઈ છે. એન્જિનિયરીંગની તુલનાએ બી આર્કની બ્રાન્ચ સોફ્ટ બ્રાન્ચ છે. જેમાં ડિઝાઈનિંગ વર્ક વધારે હોય છે. છોકરીઓ આ વર્ક ઓફિસમાં બેસીને કરી શકે છે અને વળી કોર બ્રાન્ચ સિવિલ એન્જિનિયરીંગમાં ફીલ્ડ વર્ક હોય છે.’ છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી-ખાનગી કોલેજોની સ્થિતિ વર્ષ સરકારી સીટ પ્રવેશ ખાનગી કુલ સીટ પ્રવેશ ટકા 2025 2 100 66 18 1132 985 85.30 2024 2 87 67 18 1262 859 68.64 2023 2 88 71 19 1308 741 58.16 2022 2 88 73 19 1316 745 58.26 2021 2 88 82 21 1408 841 61.69 ઇનહાઉસ જોબ હોવાથી છોકરીઓને વધુ પસંદછોકરીઓને ક્રિએટિવ ફીલ્ડ પસંદ હોવાથી તેઓ છોકરાઓની તુલનાએ વધુ પ્રમાણમાં બી આર્કનો કોર્સ પસંદ કરે છે. કોઈ પણ છોકરાને બી આર્કનુ શિક્ષણ મેળવ્યા પછી આર્થિક સ્થિરતા મેળવીને સેટલ થવુ ખૂબ જ જરૂરી હોય છે. આર્કિટેક્ટના સેલ્ફ ફાઈનાન્સ કોર્સની ફીનુ વાર્ષિક ધોરણ 1 લાખથી 4 લાખ જેટલુ હોય છે, આ ફીનુ ધોરણ સામાન્ય પરિવારના છોકરાઓ પરવડતું નથી. આર્થિક રીતે સદ્ધર છોકરીઓને બી આર્ક બાદ ફોટોગ્રાફી, જર્નાલિઝમ કરી શકે છે. (આર્કિટેક્ટ કોલેજના પ્રિન્સિપાલ ડો રમન જ્યોત શ્રીવાસ્તવાના જણાવ્યાં પ્રમાણે ) - એક્સપર્ટ

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:25 am

AAR કંપનીની અરજી નકારી:વર્ચ્યુઅલ ઓફિસના સરનામે ગ્રાહકો જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકે નહિ

કો વર્કિંગ અને વર્ચ્યુઅલ ઓફિસ સેવાઓ આપતી સ્વીટ સ્પોટ સ્પેસીસ નામની કંપનીએ ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR) સમક્ષ અરજી કરી હતી કે, તેમના ગ્રાહકો કંપનીના સરનામાનો ઉપયોગ કરીને જીએસટી નોંધણીઓ મેળવી શકે છે કે નહીં. જોકે એએઆરએ આવી અરજી સ્વીકારવા ઇનકાર કર્યો હતો. સ્વીટ સ્પોટ સ્પેસીસ કંપની વર્ચ્યુઅલ ઓફિસ, કો-વર્કિંગ સ્પેસ, જીએસટી નોંધણી સપોર્ટ અને મેઇલિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે. તેમના ગ્રાહકોમાં ભારતભરના ઈ-કોમર્સ સેલર્સ, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે. કંપની જાણવા માંગતી હતી કે તેમની ભાડે આપેલી ઓફિસ જગ્યા ગ્રાહકો તેમના મુખ્ય વ્યવસાય સ્થળ તરીકે બતાવી શકશે કે નહીં અને એ સરનામા પર જીએસટી નોંધણી મેળવી શકશે કે નહીં. એએઆરએ જણાવ્યું કે અહીં અરજદાર પોતાનો પ્રશ્ન પૂછતો નથી, પરંતુ પોતાના ગ્રાહકોને લગતો પ્રશ્ન ઉઠાવી રહ્યો છે. તેથી આ પ્રશ્ન કાયદાની વ્યાખ્યામાં આવતો નથી. ‘ચુકાદો માત્ર અરજદાર પર લાગુ પડે, ગ્રાહકો પર નહિ’એડવાન્સ રૂલિંગ દ્વારા અપાતો ચુકાદો માત્ર અરજદાર પર જ લાગુ પડે છે, તેમના ગ્રાહકો પર નહીં. એટલે કે ગ્રાહકોની નોંધણી માટે આ પ્રકારનો ચુકાદો ઉપયોગી બની શકતો નથી. આ કારણોસર અરજી નકારી કાઢવી પડી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:22 am

અદૃશ્ય ઘા:અકસ્માતથી તો બચી ગયા, પણ આજેય રોડ પર ધબકારા વધી જાય છે, સિવિલમાં મહિને 4થી 5 લોકો કાઉન્સેલિંગ માટે આવે છે

અકસ્માતોના વધી રહેલા કેસ વચ્ચે હવે લોકો શારીરિક નહીં, માનસિક ‘ઇજા’ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. ટુવ્હીલરચાલકો અને પરિવાર સાથે મુસાફરી કરનારામાં અકસ્માત બાદ ગભરામણ, ઊંઘ તૂટવી, મોટા અવાજથી ચોંકી જવું, વાહન નજીક આવે ત્યારે ડર વધવો જેવા પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) લક્ષણો વધી રહ્યા છે. સોલા, અસારવા સિવિલમાં દર મહિને 4-5 દર્દી નોંધાય છે. કિસ્સો-1 : બસ અથડાતાં રહી ગઈ હતી, આજે તેના અવાજ માત્રથી ધ્રૂજી ઊઠું છુંબે મહિના પહેલાં જ્યારે બસ એક ફૂટના અંતરે આવી ત્યારે જાણે મોત દેખાઈ ગયું. ત્યારથી સ્કૂટર પર બેસવું તો દૂર, રસ્તા પર નીકળતાં જ ધબકારા વધી જાય, બસનો અવાજ સાંભળતાં શરીર કંપી જાય અને રાત્રે ઊંઘ ઊંડી જાય છે. ડર એટલો વધી ગયો છે કે કેબ-રિક્ષા પર નિર્ભર થવું પડ્યું. કાઉન્સેલિંગ અને શ્વાસની કસરતો બાદ ધીમે ધીમે ફરી સ્કૂટર ચલાવી રહી છું. - યુવતી કિસ્સો-2 : માથામાં ઇજા થઈ ત્યારથી ડર પેસી ગયો, બાઇક પર બેસવાનું બંધ કર્યુંએસજી હાઈવે પરનો અકસ્માત આજે પણ મને હચમચાવી દે છે. અચાનક પાછળથી કાર અથડાઈ અને અમે પડી ગયા. દીકરાના માથા પર લાગેલી ઈજાએ અમારી દુનિયા હચમચાવી દીધી. ત્યાર બાદથી તે બાઈક દેખાતાં જ રડી પડતો. બાઇક પર બેસવાનું બંધ કરી દીધું હતું. કાઉન્સેલિંગથી હવે થોડી શાંતિ મળી રહી છે. મારી હિંમત પાછી મેળવી રહ્યો છું. - નોકરિયાત પીટીએસડીમાં મગજ કોઈ ઘટનાને સુરક્ષિત હોવા છતાં જોખમી માને છેપીટીએસડીમાં મગજ એ ઘટના સુરક્ષિત હોવા છતાં જોખમી તરીકે જ સ્વીકારે છે. તેની સારવારમાં અમે ટ્રોમા સંબંધિત વાતચીત થેરાપી, શ્વાસ નિયંત્રણ પદ્ધતિ અને જરૂર પડે તો દવા આપીએ છીએ. 6થી 8 સેશનમાં મોટા ભાગના દર્દીઓને 60 ટકા સુધી રાહત મળે છે. ગંભીર કેસોમાં 2થી 3 મહિના સુધી સતત સારવાર જરૂરી છે. - ડો. દીશા વસાવડા, ક્લિનિક ઇન્ચાર્જ પીટીએસડીનાં સામાન્ય લક્ષણોઅકસ્માતની યાદો વારંવાર આવવી - રાત્રે ઊંઘ તૂટી જવી અથવા ડરી જવું - કોઈ મોટો અવાજ સાંભળતાં ચોંકી જવું - કામમાં ધ્યાન ન રહેવું - બેચેની અને ચિંતા વધવી

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:21 am

વાયુસેનાની આકાશગંગા ટીમ પેરાગ્લાઇડિંગ કરશે‎:ભરૂચમાં શનિ અને રવિવારના‎રોજ હેલિકોપ્ટરનો એર - શો‎

ભરૂચમાં શનિવાર અને રવિવારના રોજ વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગાની પેરા ગ્લાઇડિંગ ટીમ તેના કરતબો બતાવશે. બંને દિવસે સવારે 9.30 થી 11.30 વાગ્યા સુધી એર શો યોજવામાં આવશે. ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર એરોબેટિક ટીમ તેમજ આકાશગંગા સ્કાઈડાઇવિંગ ગુજરાતમાં પ્રથમ તેનો એર શો કરવા જઇ રહી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કારર્કિદી બનાવવા માગતા યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે આ એર શોનું આયોજન કરાયું છે. 7 ડિસેમ્બરનો દિવસ ભારતમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ દેશના સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો તથા શહીદ વીર જવાનોને સન્માન આપવાનો છે. આ એર શો અમરતપુરા પાટીયા પાસે બની રહેલી હવાઇ પટ્ટી ખાતે યોજાશે. ભારતીય વાયુસેનાના મકરપુરા એરફોર્સ સ્ટેશનના વીંગ કમાન્ડર આર્દશ ઠાકુર અને મહિલા અધિકારી નંદીની સહિત બીડીએમએ તથા ભરૂચ સિટીઝન કાઉન્સીલના હોદ્દેદારો હાજર રહયાં હતાં. ભાસ્કર ગાઇડ‎ભરૂચ તરફથી જતા વાહનોએ રાજપીપળા‎‎ચોકડી પાસેથી યુ ટર્ન લેવો પડશે‎અમરતપુરા એર શોના સ્થળે પહોંચવા માટે ભરૂચથી જતાં લોકોએ નેશનલ હાઇવે 48 પરથી રાજપીપળા ચોકડી પાસે પહોંચી ત્યાંથી યુ ટર્ન લેવાનો રહેશે. રાજપીપળા ચોકડીથી અમરતપુરા આવતી વેળા ત્રણ દરવાજા બનાવવામાં આવ્યાં છે. એક ગેટ પરથી વાહનો પાર્કિંગમાં જઇ શકશે. બીજા ગેટ પરથી અધિકારીઓ તથા ઇમરજન્સીના વાહનો જઇ શકશે જયારે ત્રીજા ગેટ પરથી દર્શકો જઇ શકશે. ‎કાર્યક્રમની રૂપરેખા‎સવારે 9.30 થી 10.45 : રિમોટ કંટ્રોલ્ડ એરો મોડેલ શો સવારે 11 થી 11.30 : સ્કાઇ ડાઇવિંગ અને સારંગ હેલિકોપ્ટર ડીસ્પ્લે

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:19 am

વેધર રિપોર્ટ:ભરૂચનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ઘટી જતાં ઠંડી વધી ગઇ

ભરૂચ જિલ્લામાં લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં 5 ડિગ્રી ઘટી જતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેના કારણે લોકો ફરી ગરમ કપડાં પહેરીને વહેલી સવારે જતા નજરે પડ્યા હતા. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટીને 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઘટીને 16 ડિગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ વધીને 40 થી 85 ટકા અને પવનની ગતિ 12 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 19 થી 20 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા સેવાઇ રહી છે. તેથી આગામી દિવસમાં ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:17 am

ભાસ્કર વિશેષ:50 પૈસામાં કસરત : કોમનવેલ્થની તૈયારી કરાવતા અમદાવાદના અખાડા

કાંકરિયા તળાવના ગેટ નંબર 3થી અંદર પ્રવેશીએ તો પક્ષીઓના કલબલાટ વચ્ચે લોખંડની અથડામણનો ખડિંગ ખડિંગ અવાજ સંભળાય. એ અવાજ કાંકરિયાની 1938થી ચાલતી અંબુભાઈ પુરાણી વ્યાયામશાળાનો છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 40થી વધારે અખાડા રોજ હજારો યુવાનોને કસરત કરાવે છે. સૌથી મજાની વાત એ છે કે રોજની કસરતનો સરેરાશ ખર્ચ અડધા રૂપિયાથી પણ ઓછો થાય છે. કેમ કે વર્ષની ફી 160 જેવી જ છે. એમાંય બહેનો માટે તો એનાથીય ઓછી છે. જિમમાં મોંઘી ફી ભરી નથી શકતા એવા યુવાનો આવી વ્યાયામશાળામાં નિમયિત કસરત માટે આવે છે. એકલી કાંકરિયા શાળામાં જ રોજના 400થી વધારે કસરતાર્થીઓની હાજરી નોંધાય છે. ભારત સરકાર ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ ચલાવે છે, ગુજરાતમાં કોમનવેલ્થ સહિતના રમતોત્સવનું આયોજન પણ થવાનું છે. એ વચ્ચે ચાલતા આ અખાડા હકીકતે તો રમતવીરોને મોકળું મેદાન પુરું પાડે છે. હા એ માટે આ અખાડાઓમાં થોડી સુવિધા વધે, થોડો પ્રચાર-પ્રસાર થાય અને ત્યાં કામ કરનારા ટ્રેઈનરોને વધારે પ્રોત્સાહન મળે એ પણ જરૂરી છે. પાંચ વખત મિસ્ટર ઈન્ડિયા, સાત વખત મિસ્ટર ગુજરાત રહી ચૂકેલા અને વિશ્વ કક્ષાએ બૉડી બિલ્ડિંગમાં ભાગ લઈ ચૂકેલા રજનિકાંત પરમાર અહીં જ તાલીમબદ્ધ થયા છે. છેલ્લા પંદરેક વર્ષમાં તેઓ 800થી વધારે યુવાનોને વિનામૂલ્યે તાલીમ આપીને શરીરસજ્જ કરી ચૂકયા છે. નિયમિત કેમ્પ પણ કરે છે. કેરળમાં તો ત્યાંની દેશી રમત દર્શાવતા અખાડા રીતસર પ્રવાસીઓને આકર્ષે છે અને સરકાર તેને બરાબર પ્રમોટ પણ કરે છે. અહીં આવતા ખેલાડીઓને આ સાધનો એટલા બધા માફક આવી જાય છે કે તેમને આધુનિક જિમમાં ફાવતું નથી. કાંકરિયાના આ અખાડામાં તો સદભાગ્યે શરીરના તમામ ભાગની કસરત થઈ શકે એવા પચ્ચીસેક પ્રકારના ઉપકરણો છે.ગુજરાતીઓની ઓળખ વેપારી પ્રજા તરીકેની છે. હવે તેમાં કરસતબાજ તરીકે ઉમેરો કરી શકાય એમ છે. કેમ કે આવા દેશી અખાડામાં અનેક યુવાનો સજ્જ થઈ રહ્યા છે. ઑલિમ્પિક અને કોમનવેલ્થ જેવા આંતરદેશી રમતોત્સવમાં પણ વેઈટ લિફ્ટિંગ સહિતની સ્પર્ધાઓ હોય છે, જેની પ્રાથમિક તૈયારી અહીં થાય છે. સ્પર્ધા ફરીથી શરૂ થવી જોઈએબારેક વર્ષ પહેલા આંતર અખાડા સ્પર્ધા થતી. મીનિ ઓલિમ્પિક જેવી એ સ્પર્ધાને કારણે જેમની પાસે આર્થિક સગવડ ઓછી છે એવા યુવાનોને ઘણું પ્રોત્સાહન મળતું હતું. એ સ્પર્ધા હવે બંધ છે. ફરીથી શરૂ થાય તો કોમનવેલ્થ જેવી રમતોના ખેલાડીઓ ઘરઆંગણે જ મળતાં થાય.’ - રજનીકાંત પરમાર, મિસ્ટર ઈન્ડિયા અને બૉડી બિલ્ડર

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:17 am

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી:ભરૂચમાં 2 કલાકમાં 50 લારી પર તપાસ ગંદકી બદલ 2 હજારનો દંડ

ભરૂચ શહેરના શકિતનાથ વિસ્તારમાં ઉભી રહેતી ખાદ્ય વસ્તુઓની લારીઓ તથા હોટલોમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી હતી. 2 કલાકમાં 50થી વધારે લારીઓની તપાસ કરી સ્વચ્છતા જાળવવા નહિ બદલ 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્ગ્સ વિભાગે ચટણી, ખીરા સહિતની વસ્તુઓના નમૂનાઓ લઇને તપાસ માટે મોકલ્યાં છે. ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ શહેરમાં ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્તિનાથ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. શહેરમાં સતત વધતા સ્ટ્રીટ ફૂડના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને લારીઓ અને ખાણીપીણીની દુકાનો પર વિગતવાર તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ લારીઓ પર રાખવામાં આવતી સાફ સફાઈ, કચરાનાં વ્યવસ્થિત નિકાલ, ખાદ્યપદાર્થોની ગુણવત્તા તેમજ તેના સંગ્રહની પદ્ધતિ અંગે નિરીક્ષણ કર્યું હતું. કેટલીક જગ્યાએ થોડા સુધારા જરૂરી જણાતા માલિકોને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના જણાવ્યા મુજબ 2 કલાકમાં 50થી વધારે લારીઓની તપાસ કરી સ્વચ્છતા જાળવવા નહિ બદલ 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્ગ્સ વિભાગે ચટણી, ખીરા સહિતની વસ્તુઓના નમૂનાઓ લઇને તપાસ માટે મોકલ્યાં છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:16 am

સુવિધા:નવી આધાર એપમાં ઘરેબેઠાં જ નામ, સરનામું- મોબાઇલ નંબર બદલી શકાશે

હવે તમે ઘેરબેઠાં આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકો છો. સરકારે નવી આધાર એપમાં આ સુવિધા શરૂ કરી દીધી છે તેમજ સરનામું, નામ અને ઇ-મેલ આઈડી પણ અપડેટ કરવાની સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. નવી ડિજિટલ સર્વિસની જાહેરાત આધારને રેગ્યુલેટ કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ કરી છે. આ બદલાવ માટે યુઝર્સને કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. એપ પર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી બધું જ બદલી શકાશે. આ સર્વિસથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, સિનિયર સિટિઝન અને સ્થળાંતર કરનારાઓને સરળતા રહેશે. હવે આધાર કાર્ડમાં નોંધાયેલો મોબાઇલ નંબર બદલવા માટે તમારે કોઈ સેન્ટર જવાની જરૂર નહીં પડે. UIDAIએ નવી આધાર એપમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા સત્તાવાર રીતે શરૂ કરી છે. સાથે જ નામ, સરનામું અને ઈ-મેલ આઈડી બદલવાની સેવા પણ જલદી જ ઉમેરવામાં આવશે. આ નવી સર્વિસનો સૌથી મોટો ફાયદો એ છે કે યુઝરને કોઈ દસ્તાવેજ અપલોડ કે સબમિટ કરવાની જરૂર નથી. એપમાં માત્ર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી અપડેટ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. અંતરિયાળ વિસ્તારોના લોકો, વયસ્ક નાગરિકો અને વારંવાર સ્થળ બદલતા લોકો માટે આ સેવા ખાસ ફાયદાકારક બનશે. આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ શા માટે જરૂરી છે?આધાર કાર્ડ દેશની સૌથી મોટી ઓળખ સેવા છે, જેમાં 130 કરોડથી વધુ લોકોનો ડેટા જોડાયેલો છે. મોબાઇલ નંબર એનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે, કારણ કે એનાથી OTP દ્વારા બેંક એકાઉન્ટ, સરકારી સબસિડી, ઇન્કમટેક્સ વેરિફિકેશન અને ડિજિટલ સેવાઓ જેવી કે ડિઝીલોકર સુધી એક્સેસ મળે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:16 am

ટ્રાફિકની સમસ્યા વકરી:અંકલેશ્વર હાઇવે પર ફરી એક વખત‎ટ્રાફિકજામ, 4 કિમી સુધી કતાર લાગી‎

અંકલેશ્વરમાં આવેલો આમલાખાડીનો સાંકડો બ્રિજ ટ્રાફિકનું એપી સેન્ટર બની ગયો છે. ફરી એક વખત વડોદરાથી સુરત તરફ જતી લેનમાં 4 કિમીનો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ટ્રાફિકજામમાં અટવાયેલા વાહનોના કારણે હવા પ્રદૂષણમાં વધારોથયો હતો. વાહનોના ધૂમાડાના કારણે હવામાં ઉડતી રજકણો ( પીએમ) 2.5 અને 10ના પ્રમાણમાં વધારો થયો હતો. આમલાખાડી પાસેનો સાંકડો બ્રિજ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. સપ્તાહમાં 3 થી 4 દિવસ આમલાખાડી બ્રિજથી વર્ષા હોટલ સુધી વાહન કતાર લાગી રહી છે. આ અંતર વચ્ચે બે -બે ચોકડીના ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક સમસ્યા નું નિર્માણ થાય છે. સ્થાનિક વાહન કરતા અંકલેશ્વર માંથી પસાર થતા વાહન કતાર લાગી જવા પામે છે. બુધવારના રોજ પણ ચાર કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. ભરૂચ અને વડોદરાને જોડતા નેશનલ હાઇવે પર મોટા ભાગના બ્રિજ સાંકડા પડી રહ્યા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે. 4 કિમીનું અંતર કાપતા 90 મિનિટ લાગે છેઆમલાખાડી બ્રિજ પાસે થતાં ટ્રાફિકજામના કારણે ચાર કિમીનું અંતર કાપતા 90 મિનિટનો સમય લાગી રહયો છે. ચાર કિમીનું અંતર કાપતા વાહનચાલકોને વધારે સમય લાગી રહયો છે. વાહનો ચાલુ રાખવામાં આવતાં હોવાથી તેમાંથી નીકળતાં ધૂમાડાઓ હવાનું પ્રદૂષણ વધારી રહયાં છે. ઉદ્યોગો ચીમનીઓ ચાલુ રાખતાં હોવાથી હવા પ્રદૂષણ વધી રહયું છે તેવામાં વાહનોના ધૂમાડાઓ પ્રદૂષણની માત્રા વધારી રહયાં છે. એક સપ્તાહથી એકયુઆઇ 150ને પાર કરી ગયો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:15 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:હાંસોટ-પારડી હદના ઝઘડામાં 5 લાખ મંજૂર‎છતાં રસ્તો ન બન્યો; વાંસ પરથી નનામી પસાર‎

ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં પુલ અને રસ્તાની સુવિધાઓના અભાવે મોતનો મલાજો જળવાઇ રહયો નથી. હાંસોટમાં બુધવારે 60 વર્ષના વયસ્કના મોત બાદ તેની અંતિમયાત્રા માટે ગામથી સ્મશાન સુધી જવા માટે રસ્તાની વચ્ચે આવેલાં તૂટી ગયેલાં નાળા પર વાંસના લાકડાઓથી હંગામી પુલ તૈયાર કરીને ડાઘુઓ પસાર થયાં હતાં. હાંસોટ ગામથી આદિવાસી સમાજનું સ્મશાન એક કિલોમીટર દૂર જેટલું આવેલું છે. આદિવાસી સમાજમાંથી કોઇનું મૃત્યુ થાય તો આ સ્મશાને લઇ જવામાં આવે છે પણ સ્મશાન સુધી જતો રસ્તો બન્યો નથી અને વચ્ચે આવેલું નાળુ વર્ષોથી તૂટી ગયો છે. આ નાળામાં નજીકમાંથી પસાર થતી કેનાલના પાણી ભરાઇ રહેતાં હોવાથી તેને પસાર કરવું જોખમી છે. ગામમાં આદિવાસી સમાજમાંથી કોઇનું મૃત્યુ થાય તો નાળા પર લાકડાથી હંગામી બ્રિજન બનાવીને તેના પરથી જીવના જોખમે ડાધુઓ મૃતદેહ સાથે પસાર થાય છે. બુધવારે પણ આવી જ એક અંતિમયાત્રા વાંસના બનેલા પુલ પરથી પસાર થઇ હતી. સ્મશાનની‎જગ્યા પારડીની‎સીમમાં લાગે છે‎જે સમસ્યા છે તે જગ્યાએ ખાર ખરાબો છે અને પારડીનો સીમાડો છે એટલે આ સ્મશાનની જગ્યા પારડીમાં ગણાય છે. જોકે હજુ પણ અમે રેકોર્ડ તપાસી રહ્યા છે. સાથે અમે અમારી કેટલી સિમ લાગે છે ને કેટલી હદ લાગે છે તેની માપણી માટે પણ ડીઆઈએલઆર ને આપી દીધું છે પણ હજુ સુધી માપણી કરવામાં આવી નથી. હિતેશ પટેલ, સરપંચ હાંસોટ સ્મશાનયાત્રા નીકળતાં પહેલાં તૂટેલા નાળા પર પુલ બનાવ્યોઅમારા આદિવાસી સમાજનું સ્મશાન ગામથી એક કીમી દૂર આવેલું છે. સ્મશાન સુધી જવા માટે આરસીસીનો રસ્તો બનાવવા માટે 5 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સ્મશાન તરફ જતાં રસ્તા પર એક નાળુ આવેલું છે. જે કેટલાક સમયથી તૂટી ગયું છે. આ નાળામાં કેનાલના પાણી ફરી વળતાં હોવાથી ત્યાંથી પસાર થઇ શકાતું નથી. સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે જવા માટે નાળુ પસાર કરવાની ફરજ પડે છે. બુધવારના રોજ ગામમાં રહેતાં 60 વર્ષીય વૃધ્ધનું મોત થતાં સ્મશાન યાત્રા નીકળી હતી. નાળા પાસે સમસ્યા હોવાથી ગામના 20 જેટલા યુવાનો 12 ફૂટ લાંબા વાસ લઇને ગરનાળા પાસે પહોંચી ગયાં હતાં અને અડધા કલાકમાં નાળા પર હંગામી પુલ બનાવી દીધો હતો. ગામમાંથી વૃધ્ધની સ્મશાન યાત્રા નીકળી ત્યારે ડાધુઓ જીવના જોખમે લાકડાના પુલ પરથી પસાર થયાં હતાં. આ સ્થળે નવો રસ્તો બનતો નહી હોવાથી અત્યાર સુધી 6 થી 7 સ્મશાનયાત્રાઓ આ રીતે નીકળી છે. એટીવીટીની ગ્રાંટ હેઠળ સ્મશાન સુધી આરસીસીનો રસ્તો બનાવવા માટે પાંચ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. આ રસ્તાની કામગીરી શરૂ કરવા માટે હાંસોટ તાલુકા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી અમારી માગણી છે. > કાંતિભાઈ વસાવા, આગેવાન

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:13 am

દારૂનો મોટો જથ્થો પકડાયો:મોડાસાના દાવલી પાસે ટ્રકમાંથી રૂ. 15.19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોડાસા તાલુકાના દાવલીમાંથી પસાર થતાં શામળાજી-હિંમતનગર હાઇવે ઉપરથી ચિનાઈ માટીની આડમાં રૂ.15 .19 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી ટ્રકને એલસીબીએ ઝડપી પાડી ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરીને વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે. એલસીબીનો સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એમએચ ઝાલાના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગમાં હતો. બાતમી આધારે રાજસ્થાનથી ટ્રક નંબર આરજે 09 જીઈ 28 78માં ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરીને જતાં અટકાવીને તેની તલાસી લેતા દારૂ બિયરની પેટી નંગ 145 મળી હતી. પોલીસે રૂ.1519 440ની કિંમતની વિદેશી દારૂની બોટલ ટીન નંગ 29 04 અને ચિનાઈ માટી મોબાઇલ તેમજ ટ્રક સહિત 3052874નો મુદ્દામાલ કબજે લઈ ચાલક લક્ષ્મણ લાલ કિશન લાલજી કિર રહે હપા ખેડી નિકુમ જિલ્લો ચિત્તોડગઢ અને નરેન્દ્ર ભાઈ બાલકિશન માંગીલાલ રાવ રહે નપાવલી જિલ્લો ચિત્તોડગઢ અને વોન્ટેડ આરોપી પપ્પુ લાલ રામલાલ કિર રહે નપાવલી નીકુમ તાલુકો ભદ્રેશર જિલ્લો ચિત્તોડગઢ રાજસ્થાન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:09 am

સ્વચ્છતા પાછળનો ખર્ચ પાણીમાં ગયો:મોડાસા નગરપાલિકાનો ખાડે ગયેલો વહીવટ 180 સ્ટાફ, 25 વાહનો છતાં શહેરમાં ગંદકી

મોડાસા શહેર અરવલ્લી જિલ્લાનું હેડ ક્વાર્ટર બન્યું હોવા છતાં, નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે ચારે તરફ ગંદકીને લઈ ટીકાનું પાત્ર બની છે. વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત મિશન ચલાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસામાં સ્વચ્છતાનો અભાવ હોય તેવો ઘાટ સર્જાયો છે. મોડાસા પાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલના જણાવ્યા મુજબ, 9 વોર્ડમાં સફાઈ અને સેનિટેશન માટે 180 જેટલો સ્ટાફ અને 25 જેટલા વાહનો રાખવામાં આવ્યા છે. આમ જનતાના ટેક્સના લાખો રૂપિયા સફાઈ પાછળ ખર્ચ થઈ રહ્યા છે. પગાર, ડીઝલ વગેરે મળીને સેનિટેશન પાછળ દર મહિને ₹ 20 લાખ ઉપરાંતનો ખર્ચ કરવામાં આવે છે. આટલો મોટો ખર્ચ થવા છતાં પણ મોડાસા શહેરમાં નર્કાગાર જેવી સ્થિતિ છે. શહેરીજનોને લાગે છે કે તેમના ટેક્સના પૈસા પાણીમાં ગયા છે, કારણ કે તેમને સુવિધાના નામે મીંડું મળે છે. ગંદકીનું સામ્રાજ્ય ઉત્સવ વેલી સોસાયટી, ખેર સર્કલ, રામપાર્ક ગ્રાઉન્ડ વિસ્તાર જેવી અનેક જગ્યાઓએ ઊભું થયું છે. એટલું જ નહીં, અરવલ્લી જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી જેવા મુખ્ય વહીવટકર્તાઓના નિવાસ્થાનની આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. યોગ્ય સફાઈના અભાવે શહેરમાં રોગચાળો ફેલાય તેવી પ્રબળ શક્યતા ઊભી થતાં, નગરપાલિકાના વહીવટ સામે ઉગ્ર આક્રોશ ઊભો થયો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:08 am

કાર્યવાહી:વાવડી ગામે ખનિજ વિભાગે લાઇમ સ્ટોન ખનન સામે કાર્યવાહી કરી

વાવડી ગામે ગેરકાયદેસર રીતે ચાલતા લાઇમસ્ટોન (બેલા)ના ખનનની કામગીરી સામે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં થતી બિનઅધિકૃત ખનિજ વહન - ખનન - સંગ્રહની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ વિભાગ બોટાદ દ્વારા કરવાહી કરવા આવી રહી છે. આ અંતર્ગત ગઢડાના વાવડી ગામ ખાતે આકસ્મિક તપાસ દરમિયાન બિલ્ડીંગ લાઇમસ્ટોન (બેલા) ખનિજનું ખાણ કામ ચાલુ જોવા મળતા સ્થળ ઉપરથી પથ્થર કાપવાની ચકરડી 3, ટ્રેક્ટર 3 મળીને આશરે રૂપિયા પાંત્રીસ લાખનો મુદામાલ સીઝ કરીને કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી બી. એમ. જાલોંધરાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:08 am

ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું:ઇડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક શૌચાલયની ગંદકીથી દર્શનાર્થીઓ પરેશાન

ઇડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા શૌચાલયની ગંદકીથી દર્શનાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. ઇડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં દરરોજ લોકો દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ શૌચાલયની ગંદકીના કારણે ભકતોમાં આ બાબતને લઇને નારાજગી જોવા મળી રહી છે. સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા શૌચાલયમાં સમયસર સાફસફાઇ કરવામાં આવતી નથી. જેથી શૌચાલયમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે. તો હાથ ધોવાના વોશબીશીનમાં પણ પાણીની સગવડ નથી તથા ટબમાં અહીં આવતા લોકો દ્વારા પાનની પિચકારીઓ મારવામાં આવી રહી છે અને ગંદકી ફેલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ શૌચાલયમાં ટબ સાથે જોડાયેલી પાઇપો તૂટેલી હાલતમાં છે. તેમજ લોકો દ્વારા યુરિન કરાયા બાદ યુરિનના નિકાલની વ્યવસ્થામાં કચરો ભરાઇ રહેતો હોવાથી યુરિન નિકાલ થતુ નથી અને શૌચાલયમાં જ ભરાઇ રહે છે. જેની વાસના કારણે આસપાસમાંથી પસાર થતાં દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ પરિસ્થિતિ માટે ફકત પ્રસાસન જ જવાબદાર નથી પરંતુ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકો પણ એટલા જ જવાબદાર છે. કારણ કે તેમના દ્વારા જ આ ગંદકી ફેલાવામાં આવી રહી છે. તંત્ર દ્વારા યોગ્ય સાફસફાઇ પણ કરવામાં આવતી ન હોવાનું પણ કારણ છે. પ્રશાસનની આ બેદરકારી સામે સ્થાનિકો અને અહીં દર્શને આવતા ભક્તોમાં રોષ સહિત સફાઈ વ્યવસ્થા તાત્કાલિક સુધારવાની માંગ ઉઠી રહી છે તેમ રાજકમલસિંહે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:07 am

ખેતી વિશેષ:મોડાસાના લચ્છાઈ પાસે ખેડૂતે ડ્રેગન ફ્રૂટ અને તાઇવાન જાતના જામફળની બાગાયતી ખેતી કરી પ્રેરણા રૂપ બન્યા

અરવલ્લી જિલ્લામાં પરંપરાગત ખેતીની જૂની પદ્ધતિઓને પડકારતાં, નવી પેઢીના ખેડૂતો આધુનિક અને બાગાયતી ખેતી અપનાવીને આર્થિક સમૃદ્ધિનો નવો દાખલો રચી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના મૂળ વતની મિતેષભાઈ જેમણે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ધોડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં લચ્છાઇ ગામે આશરે 18 એકર જમીનમાં ડ્રેગનફ્રૂટ અને છ એકર જમીનમાં તાઇવાન પ્રજાતિના જામફળ તેમજ બટાકાની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. જે ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહી છે મોડાસા તાલુકાના ધોડિયા ગામ પંચાયત વિસ્તારમાં આવેલા હીરા આ ફાર્મના મેનેજરે જણાવ્યું હતું કે, બાગાયત વિભાગના માર્ગદર્શન અને સતત સહયોગથી અમે અહીં આધુનિક તકનીકો અને પ્રાકૃતિક ખેતપદ્ધતિઓ અપનાવી છે. ખાસ કરીને તાઇવાન પ્રજાતિનું જામફળ અને ડ્રેગનફ્રૂટનું વાવેતર ખૂબ જ સફળ રહ્યું છે. હાલમાં જામફળનો પાક પણ બજારમાં પહોંચી રહ્યો છે અને બજારમાં તેની માંગ અને ભાવ બંને સારા મળી રહ્યા છે. આ સાથે જ 20-25 જેટલાં લોકોને રોજગારી પણ મળી રહી છે. આ સફળતા મિતેષભાઈની મહેનતની સાથે રાજ્ય સરકારના બાગાયત વિભાગની સક્રિય ભૂમિકાનું પણ મુખ્ય ગણવામાં આવી રહી છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોને ટેકનિકલ માહિતી, ટ્રેનિંગ, ગુણવત્તાયુક્ત રોપા તેમજ સબસીડીની પ્રક્રિયામાં સહયોગ મળતા જેનાથી ખેડૂતોમાં નવા પાકો અપનાવવાની હિંમત અને આત્મવિશ્વાસ વધી રહ્યો છે. ખેડૂતે જણાવ્યું હતું કે આ ખેતીથી પાણીનો વધુ પડતો વપરાશ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જળવાય છે અને બજારમાં મળતા ઊંચા ભાવને કારણે ખેડૂતોની આર્થિક રીતે પગ ભર થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:06 am

ખેડૂતોને ભારે નુકસાની:બોટાદના ખેડૂતે 50 વીઘામાં વાવેલી ડુંગળી લોકોને મફતમાં આપી દીધી

ડુંગળીના પુરતા ભાવ ન મળતા બોટાદના ખેડૂત મનસુખ ભાઈ મગનભાઈ પરમારે પોતાના 50 વીઘાના ખેતરમાં વાવેલ ડુંગળીનો પાક લોકોને મફતમાં આપવાનું શરૂ કરતા મોટી સંખ્યામાં લોકો ખેડૂતના ખેતરે પહોંચી જરૂરિયાત મુજબ જાતેજ ડુંગળી લઈ રહ્યા છે. ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 3 થી4 રૂપિયા મળતો હોવાથી ખેડૂતને વાવેતરનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી મનસુખભાઈ પરમાર એ તેના 50 વિઘાના ખેતરમાં વાવેળ ડુંગળી કાઢીને લોકોને મફત આપવાનો નિર્ણય કરતા મોટી સંખ્યામાં લોકો ખેડૂતના ખેતરે પહોંચી જરૂરિયાત મુજબ જાતેજ ડુંગળી લઈ રહ્યા છે. 50 વિઘા માં ડુંગળીનું વાવેતર કરતા તેમને એક વિઘે આશરે 25 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો હોવાનું તેઓએ જણાવ્યું હતું. ડુંગળીના ભાવ ના આવતા તેમને થયેલ ખર્ચ પણ વસૂલ કરવો મુશ્કેલ બન્યો છે. ડુંગળીના ભાવ ન મળવા બાબતે ખેડૂત મનસુખભાઈ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ડુંગળીના ભાવ ગગડવા પાછળના કારણોમાં માવઠાને કારણે પાકને થયેલું નુકસાન અને સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય મુખ્ય છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂત મનસુખભાઈએ જણાવ્યું કે, જો સરકાર દ્વારા તેમને યોગ્ય મદદ મળે તો તેઓ ખેત શ્રમિકો ને પણ મદદ કરી શકે તેમ જણાવ્યું હતું. - મનસુખભાઈ પરમાર, ખેડૂત

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:06 am

ગેરરીતિ નાથવાનો પ્રયાસ:કુલપતિ દ્વારા કોલેજોમાં ગેરરીતિની રજૂઆતો મળતા વિશેષ ચાર ચાર સભ્યોની વિશેષ ચાર કમિટીઓ બનાવી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતનું 600 થી વધુ કોલેજો મંજૂરી બાદ પણ દર વર્ષે થઈ રહેલી એલઆઇસી કમિટીની તપાસ માત્ર કાગળ ઉપર છે. ઉપરાંત અનેક કોલેજો નિયમ વિરોધ આડેધડ કોઈપણ સુવિધાઓ વગર ચાલી રહી હોવાની રજૂઆતો મળતા કુલપતિ દ્વારા હવે માત્ર રજૂઆત વાળી કોલેજે જ નહીં પરંતુ સંલગ્ન ઉત્તર ગુજરાતની તમામ કોલેજોમાં નિયમોના પાલનની સાથે શૈક્ષણિક સુવિધાઓ માટે જરૂરી તમામ સુવિધાઓ તેમજ સ્ટાફ સાથે શૈક્ષણિક માહોલ અને છાત્રોને અપાઈ રહેલ શૈક્ષણિક કાર્યની સ્થિતિ જેવા વિવિધ તમામ નવા કોમન એક્ટ અંતર્ગત જરૂરી બાબતોની ચકાસણી માટે વિશેષ ચાર ચાર સભ્યોની ચાર કમિટીઓ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજુર કરીને તૈયાર કરવામાં આવી છે. દરેક કમિટીમાં ચાર સભ્યો હશે. જેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક સભ્ય, એક વિશેષ તજજ્ઞ અને કોલેજના પ્રોફેસર મળી આ 4 સભ્યોની એક ટીમ જિલ્લાની કે જિલ્લા બહારની કોઈપણ કોલેજમાં તપાસ માટે વિચાર કરીને કોલેજને માત્ર એક દિવસ પૂર્વે જ જાણ કરશે અને સ્થળ ઉપર તમામ ડોક્યુમેન્ટ અને જરૂરી સુવિધાઓ અંગેના પુરાવા સહિતની વિગતો ચકાસણી માટે તૈયાર રાખવા સૂચના આપશે. બીજા દિવસે જઈને આ ટીમ તેની ખરાઈ કરીને નિરીક્ષણ બાદ રિપોર્ટ તૈયાર કરશે જે કુલપતિને રજૂ કરવામાં આવશે. ભાસ્કર ઇનસાઇડ કોઈનું રજીસ્ટ્રેશન ખોટું , તો કોઈ પાસે સુવિધા કે સ્ટાફ‎નહી તેવી 14 કોલેજોની અરજી યુનિવર્સિટીમાં મળી છે‎યુનિવર્સિટી દ્વારા કોલેજોની તપાસ અંગે કમિટી બનાવવા અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અલગ અલગ કોલેજો દ્વારા સામસામે અથવા વિરોધાભાસમાં કોલેજનું રજીસ્ટ્રેશન ખોટું હોવાનું , સ્થળ સુવિધાઓ ના હોવાનું , કોલેજ પાસે પોતાનું મકાન કે જમીન ના હોવાની તો સ્ટાફ કે સુવિધા ના હોવાના આક્ષેપો સાથેની તપાસ માટે કુલ 14 કોલેજો સામે અરજીઓ આવી છે. જે ના માટે કુલપતિ દ્વારા સ્પેશિયલ એક યુનિવર્સિટીના કુલપતિ સહિતના ચાર સભ્યોની કમિટી તપાસ માટે રચીને તપાસ શરૂ પણ કરી દેવામાં આવી છે. પરંતુ આ 14 જ નહીં અન્ય કોલેજોમાં અવારનવાર આક્ષેપો ઉઠતા હોય તમામ કોલેજોમાં તપાસ માટે આ ચાર અલગ કમિટીઓ બનાવી છે. કોલેજનો રિપોર્ટ નેગેટિવ હશે તો તેના જોડાણ રદ થશે‎કુલપતિ ડૉ.કે.સી.પોરિયાએ જણાવ્યું હતું કે‎‎આ કમિટી એક દિવસ પૂર્વે કોલેજને તમામ‎‎ડોક્યુમેન્ટ અને સ્ટાફ સાથે જરૂરી‎‎સુવિધાઓની ચકાસણી અંગે જાણ કરશે.‎બીજા દિવસે ટીમ સ્થળ ઉપર આખો દિવસ રોકાશે અને તમામ જરૂરી‎બાબતોનું નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરશે જેમાં ખાસ કરીને‎શૈક્ષણિક માહોલ અને સુવિધાઓ જે શરતો મુજબ નહીં હોય તો તેના‎નકારાત્મક રિપોર્ટ તૈયાર કરીને લાવશે અને તેના આધારે કોલેજની‎જોડાણ રદ કરવામાં આવશે. નવા શૈક્ષણિક વર્ષથી તેને સંખ્યા‎ફાળવણી કરાશે નહીં. આ રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે.‎

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:02 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીને AI વીડિયોમાં ચા વેચતા બતાવાયા, વિવાદ; છત્તીસગઢમાં 12 નક્સલી ઠાર, 3 જવાન શહીદ; તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના AI વીડિયો પર થયેલા વિવાદ સાથે સંબંધિત હતા. બીજા મોટા સમાચાર છત્તીસગઢમાં 12 નક્સલવાદીઓના માર્યા જવાની ઘટનાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાતે આવશે. 2. તમિલનાડુમાં ચાલી રહેલા SIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. કોંગ્રેસે હીરાબા પછી ફરી એકવાર મોદીનો AI વીડિયો પોસ્ટ કર્યો:આ વખતે 'ચા’વાળા બતાવ્યા; ચાય બોલો, ચાય..., ભાજપે કહ્યું, આ ખૂબ જ શરમજનક, જનતા માફ નહીં કરે કોંગ્રેસે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચા વેચતો એક AI જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં PMને ચાવાળા તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમના હાથમાં ચાની કીટલી છે, બીજા હાથમાં ગ્લાસ છે. વીડિયોમાં મોદીને જોર-જોરથી 'ચા બોલો, ચા-ચા જોઈએ' બોલતા દર્શાવવામાં આવ્યા છે. AI વીડિયોમાં PM રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે. તેમની પાછળ ભારત સહિત અનેક દેશોના ઝંડા લાગેલા છે. આમાં ભાજપનો પણ ઝંડો છે. આ AI વીડિયો કોંગ્રેસનાં પ્રવક્તા ડો. રાગિણી નાયકે પોસ્ટ કર્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 7 એરપોર્ટ પર ઇન્ડિગોની 100 ફ્લાઇટ કેન્સલ:ક્યાંક ટેકનિકલ કારણ તો ક્યાંક ક્રૂની કમી, ઠીક થવામાં 48 કલાક લાગશે; DGCAએ જવાબ માગ્યો દેશના 8 એરપોર્ટ પર ટેકનિકલ ખામી અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ઈન્ડિગો એરલાઇને જણાવ્યું હતું કે ખરાબ હવામાન, સિસ્ટમમાં ગડબડી અને સ્ટાફ સાથે જોડાયેલા નવા નિયમોને કારણે ફ્લાઇટ્સ પર અસર પડી છે. 48 કલાકમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. જ્યારે, DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય) એ ઈન્ડિગો પાસેથી જવાબ માંગ્યો છે, કારણ કે નવેમ્બરમાં 1272 ફ્લાઇટ્સ રદ થઈ છે. નવા નિયમો લાગુ થયા છે: DGCA એ પાયલટો માટે નવા નિયમો લાગુ કર્યા છે. 1 નવેમ્બરથી નિયમો બદલાયા પછી ખાસ કરીને ઈન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર જોવા મળી છે. હવે પાયલટોને દર અઠવાડિયે 48 કલાકનો આરામ આપવો જરૂરી છે અને રાત્રે લેન્ડિંગની સંખ્યા 6 થી ઘટાડીને 2 કરી દેવામાં આવી છે.. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈન્ડિયાની સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ટીમ જાહેર:હાર્દિક અને ગિલ કમબેક કરશે; રાયપુરમાં T20 વર્લ્ડ કપ માટે ભારતની જર્સી લોન્ચ સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. જસપ્રીત બુમરાહને વન-ડેમાંથી આરામ આપીને T20માં સામેલ કરવામાં આવ્યો. હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની પણ ટીમમાં વાપસી થઈ. T20 સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે. BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગેની જાણકારી આપી. બુધવારે જ રાયપુરમાં બોર્ડે T20 વર્લ્ડ કપ માટે જર્સી પણ લોન્ચ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. નવા ફોનમાં સંચાર સાથી એપ્લિકેશન નહીં હોય:સરકારે પ્રી-ઇન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો; વિપક્ષે કહ્યું હતું, આનાથી જાસૂસી થઈ શકે છે કેન્દ્ર સરકારે મોબાઇલ ફોન પર સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશન (પહેલેથી ડાઉનલોડ)ના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે માત્ર એક દિવસમાં પોતાની મરજીથી એપ ડાઉનલોડ કરનારાઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. સંચાર સાથી એપની વધતી લોકપ્રિયતાને જોતાં સરકારે મોબાઇલ બનાવતી કંપનીઓ માટે પ્રી-ઇન્સ્ટોલેશનની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સંચાર સાથી એપથી જાસૂસી કરવી ન તો શક્ય છે, ન તો જાસૂસી થશે. કેન્દ્રીય સંચારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એપને લઈને કોંગ્રેસનેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાના સવાલોના જવાબમાં કહ્યું હતું કે ફીડબેકના આધારે મંત્રાલય એપ ઇન્સ્ટોલ કરવાના આદેશમાં ફેરફાર કરવા તૈયાર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર, 3 જવાન શહીદ, 2 ઘાયલ:PM મોદી-શાહની સ્ટ્રેટજીના ચોથા દિવસે મોટું એન્કાઉન્ટર, તમામ નક્સલીઓના મૃતદેહ અને હથિયારો જપ્ત છત્તીસગઢમાં દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જવાનોએ 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. જ્યારે એન્કાઉન્ટરમાં DRGના 3 જવાન શહીદ થયા છે અને 2 ઘાયલ થયા છે. બસ્તર રેન્જના IG સુંદરરાજ પી.એ પુષ્ટિ કરી છે. બસ્તર રેન્જના IG સુંદરરાજ પી.એ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બીજાપુર DRGના જવાન હેડ કોન્સ્ટેબલ મોનુ વડારી, રમેશ સોડી અને કોન્સ્ટેબલ દુકારુ ગોંડે શહીદ થયા. ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં જવાનોની ટીમ સતત સર્ચ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઈસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે:સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર, પિતાને મુક્તિ અપાઈ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તથ્ય પટેલ અને તેના પિતા દ્વારા સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી ડિસ્ચાર્જ આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી રિવિઝન અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલને મુક્તિ આપવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે તેના પિતાને મુક્તિ આપવામાં આવી છે. સાપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. તસ્કરો છાના પગે આવી માતાજીના આભૂષણો ચોરી ગયા, CCTV:એક ધ્યાન રાખવા ઊભો રહ્યો, બીજો અંદર જઈ ચાંદીનું છત્ર ખેંચી ગયો, મહેસાણામાં અઠવાડિયામાં બે ઘટના મહેસાણા તાલુકાના વીરતા ગામે ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગત રાત્રિના 12 વાગ્યાના અરસામાં બે તસ્કરો ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં ઘૂસ્યા હતા અને ગર્ભગૃહના બંધ દરવાજાનાં તાળાં તોડીને માતાજીને અર્પણ કરાયેલા લાખોના આભૂષણો, ચાંદીનું છત્ર અને કીમતી પાદુકાઓની ચોરી કરી ગયા હતા. આ ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTVમાં કેદ થઈ છે, જેમાં એક તસ્કર બહાર વોચ રાખતો અને બીજો તસ્કર નકાબ બાંધીને અંદર ચોરી કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં બે ચોરીની ઘટના સામે આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર, 3 જવાન શહીદ, 2 ઘાયલ:PM મોદી-શાહની સ્ટ્રેટજીના ચોથા દિવસે મોટું એન્કાઉન્ટર, તમામ નક્સલીઓના મૃતદેહ અને હથિયારો જપ્ત વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પુતિને કહ્યું-જો યુરોપ યુદ્ધ ઈચ્છે છે તો રશિયા તૈયાર છે:પૂરી તાકાતથી જવાબ આપીશું, તેમની એવી હાર થશે કે કોઈ બચશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાણીપતમાં 4 બાળકોની હત્યા, સાયકો કિલર મહિલા અરેસ્ટ:પોતાના દીકરાને પણ પાણીમાં ડુબાડ્યો; સુંદર દેખાતા બાળકોને નિશાન બનાવતી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ભારત-રશિયા એકબીજાના મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકશે:રક્ષા કરારને રશિયન સંસદની મંજૂરી, પુતિનની ભારત મુલાકાત પહેલાં જાહેરાત વાંચો સંપૂર્ણ સમાચાર 5.આ નોંધી રાખો : નવી આધાર એપમાં ઘેરબેઠાં એડ્રેસ-નામ બદલી શકશો:મોબાઇલ નંબર બદલવાની સુવિધા શરૂ; કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : કોહલી 15 વર્ષ બાદ વિજય હજારે ટ્રોફી રમશે:DDCAને ફોન કરીને જાણકારી આપી; 24 ડિસેમ્બરથી ટૂર્નામેન્ટ શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે માગશર પૂર્ણિમા:પુરાણો પ્રમાણે પૂજા-દાન કરવાથી 32 ગણુ ફળ પ્રાપ્ત થાય છે, જાણો પૂજા-વિધિ અને મંત્ર વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે મહિલાઓના ડરથી 55 વર્ષ સુધી એકલો રહ્યો વ્યક્તિ રવાન્ડાનો એક વ્યક્તિ મહિલાઓના ડરને કારણે 55 વર્ષથી એકલો રહી રહ્યો છે. 16 વર્ષની ઉંમરે તેણે નક્કી કર્યું હતું કે, તે મહિલાઓથી દૂર રહેશે. આ પછી તેણે માટીના એક નાના ઘરમાં પોતાનું આખું જીવન વિતાવ્યું. વાસ્તવમાં, આ વ્યક્તિને ગાયનોફોબિયા (Gynophobia) નામની એક બીમારી છે, જેમાં વ્યક્તિને મહિલાઓથી ડર લાગે છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સક્લૂસિવ: 'લાલો' શૂટ થયું એ ઘરના માલિકની દારુણ સ્થિતિ:'100 કરોડની કમાણી કરી, પણ અમને કંઈ ન આપ્યું, શૂટિંગ સમયે માસી માસી કરતાં; હવે સામું નથી જોતા' 2. IPS ડાયરીઝ-3 : કિડનેપરને પકડવા ગોળીબાર થયો:બે જિલ્લા ફેંદી અઠવાડિયે બાળકને હેમખેમ પાછું લવાયું, પોલીસે ગોળીએ વીંધી કિડનેપરને જીવતો પકડ્યો 3. 3 દિવસ ક્રાઇમ બ્રાંચને ઊઠાં ભણાવ્યાં, રિક્ષાવાળાની ટિપ કામ કરી:પોણા કલાકના ઘટનાક્રમનો તાળો મળ્યો અને મિત્રએ ગુનો કબૂલ્યો, ઘરેણાં પહેરવાનો શોખ બન્યો મોતનું કારણ 4. 11 વખત ધારાસભ્ય-સાંસદ રહેલા આઝમ ખાન હવે કેદી નંબર 425:50 મહિના જેલ, 55 દિવસ જામીન, ફરી જેલ; રામપુરના લોકોએ કહ્યું, યોગી દયા કરે 5. Editor's View: પાકિસ્તાને ગુજરાત-રાજસ્થાન માગ્યાં:નેપાળે નવી લીટી દોરી, બાંગ્લાદેશમાં ભારતના ટૂકડા કરવાની વાત, ચીનના ઇશારે ત્રણ પાડોશીઓનો ખતરનાક પ્લાન કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:મિથુન જાતકોને લાભદાયી ગ્રહ સ્થિતિ બનેલી છે; સિંહ જાતકોને નાણાકીય લેવડ-દેવડમાં વિવાદની સ્થિતિથી સાચવવું વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 5:00 am

સન્માન:વડાલીના શારદા હાઇ સ્કૂલના આચાર્ય કૌશિક મહેતા શ્રેષ્ઠ આચાર્ય સન્માનિત

વડાલી સ્થિત શારદા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય કૌશિક મહેતાને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ નેતૃત્વ અને પ્રતિબદ્ધતા બદલ શ્રેષ્ઠ આચાર્યનો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરાયો છે. આ સન્માન નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે ગાર્ડી વિદ્યાપીઠ યુનિવર્સિટીમાં આયોજિત એક સમારોહમાં પ્રદાન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર આચાર્ય મહેતાની શિક્ષણ પ્રત્યેની સમર્પણ ભાવના અને ઉત્કૃષ્ટ નેતૃત્વ ક્ષમતાને દર્શાવે છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વડાલી વિસ્તાર અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ છે. વડાલીના ન્યૂ એજ્યુકેશન ટ્રસ્ટના વડા ગંગારામ પટેલે આચાર્ય મહેતાને અભિનંદન પાઠવ્યા હતા અને આ સિદ્ધિને વડાલી વિસ્તાર માટે ગર્વની વાત ગણાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:58 am

હિંમતનગર:સા.કાં. જિલ્લા પંચાયત, હિંમતનગર તા. પં.નું રોટેશન જાહેર

ચાર દિવસ અગાઉ સાબરકાંઠા જિલ્લાની સાત તાલુકા પંચાયતમાં રોટેશન જાહેર થયા બાદ બુધવારે સાબરકાંઠા જિલ્લા પંચાયત અને હિંમતનગર તાલુકા પંચાયતની બેઠકોનું રોટેશન જાહેર કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાં હિંમતનગર તાલુકાની સવગઢ બેઠક અને ઈડર તાલુકાની એક બેઠકની બાદબાકી થઈ છે જ્યારે હિંમતનગર તાલુકા પંચાયતમાં અપેક્ષા મુજબ જ સવગઢ અને કાકણોલ-2 બે બેઠકોની બાદબાકી થતા કુલ 28 બેઠકો થઈ છે જેમાં બળવંતપુરા બેઠકનું નામ નવા બેઠક થઈ ગયું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:56 am

SIRની કામગીરી:સા.કાં.માં સરની કામગીરી 95થી 100 ટકા પૂર્ણ

સાબરકાંઠા સરની કામગીરી 95થી 100 ટકા પૂર્ણ થવા આવી છે. બી.એલ.ઓ.ને ચૂંટણી તંત્ર દ્વારા સહાયક અપાતા કામગીરીમાં ઝડપ આવી છે. જેના કારણે જિલ્લામાં સરની કામગીરી લગભગ પૂર્ણતાના આરે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના બીએલઓની કામગીરી 95 ટકા જેટલી થઇ ગઇ છે. હાલમાં 1282 બીએલઓમાંથી 388 જેટલા બીએલઓએ 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. બી.એલ.ઓ.ને ચૂંટણી તંત્ર દ્વારા એમ્યુનરેશન ફોર્મ વિતરણ, ફોર્મ કલેકશન, એપમાં મેપિંગની કામગીરી સોંપવામાં આવેલી હતી. જેમાં ત્રણ દિવસમાં ફોર્મ વિતરણ કરીને ફોર્મ પરત મેળવવાના હતા. ત્યારબાદ તેનું ડીઝીટાઇઝેશન કરવાનું હતું. બી.એલ.ઓ.ને આ કામમાં માનસિક અને શારિરીક તકલીફ પડતાં ચૂંટણી તંત્ર દ્વારા સહાયકો મૂકવામાં આવ્યાં હતાં. જેના લીધે બી.એલ.ઓ.ની કામગીરી થોડી સરળ બની હતી. 1200 મતદારો ધરાવતા બીએલઓએ જણાવ્યું હતું કે, સહાયક મળવાથી ફોર્મનું કલેકશન ઝડપી થયું તથા તેનું મેપિંગ કરવામાં પણ ઝડપ આવવાથી સરની કામગીરીમાં ગતિ આવી જેના કારણે હાલમાં મારે 95 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે . બાકીના પાંચ ટકા કામગીરી એકાદ બે દિવસમાં પુરી થઇ જશે. 800 મતદારની યાદી ધરાવતા બી.એલ.ઓ.એ જણાવ્યું કે, સહાયકના કારણે કામમાં ગતિ આવી છે. સહાયક અમને ઘણો ઉપયોગી સાબિત થયો છે. હાલમાં મારી કામગીરી લગભગ 100 ટકા પૂર્ણ થવા આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:55 am

કમોસમી માવઠાની અસર:અરવલ્લી જિલ્લામાં માવઠાની અસરના કારણે બટાકાના પાકની વાવણી મોડી થઈ રહી છે : ખેડૂતો

અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠાના કારણે શિયાળુ પાકોની વાવણીના સમયમાં માઠી અસર જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં ગત નવેમ્બર માર્ચમાં અંદાજિત 15000 હેક્ટર કરતાં વધુ જમીનમાં બટાકાના પાકની વાવણી થઈ ચૂકી હતી. તેની જગ્યાએ કમોસમી માવઠાના કારણે ખેડૂતો બટાકાના પાકની વાવણીમાં મોડા પડતા જિલ્લામાં નવેમ્બર માસમાં 11,437 હેક્ટર જમીનમાં બટાકા આ પાકની વાવણી થઈ છે. માવઠાના કારણે મગફળીના પાકની વાવણી વાળા ખેતરોમાં ખેડૂતો સમયસર બટાકાના પાકની વાવણી ન કરી શકતા નવેમ્બર માસમાં જિલ્લામાં માત્ર 11,437 હેક્ટર જમીનમાં બટાકાના પાકને વાવણી થઈ છે. બાયડ તાલુકામાં અને ધનસુરા તાલુકામાં અને તેમાં ખાસ કરીને દોલપુર કંપામાં પણ આ વર્ષે ખેડૂતો બટાકાના પાકની વાવણીમાં મોડા પડ્યા હોવાનું જણાવી રહ્યા છે. ધનસુરા તાલુકામાં માત્ર 29 50 હેક્ટરજમીનમાં બટાકાના પાકની વાવણી થઈ છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ બાયડ તાલુકામાં 5,261 હેક્ટર જમીનમાં બટાકાના પાકની વાવણી થઈ છે. સૌથી ઓછી ભિલોડા તાલુકામાં માત્ર 59 હેક્ટર જમીનમાં બટાકાની પાકની વાવણી થઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:54 am

હુડાનો વિરોધ:હવે સહકારી આગેવાનોનું આંદોલનને સમર્થન

હુડા સંકલન સમિતિ અને ખેડૂતો દ્વારા સહકારી સંસ્થાઓના તમામ ડિરેક્ટરો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યોને તેમનું સ્ટેન્ડ ક્લિયર કરવા અલ્ટીમેટમ આપી બુધવારે મિટિંગનું આયોજન કરતા સાબરડેરીના ત્રણ ડિરેક્ટર નાગરિક બેંકના ચાલુ અને પૂર્વ ચેરમેન, ડિરેક્ટરો તાલુકા સંઘ અને એપીએમસીના ચૂંટાયેલા સદસ્ય જિલ્લા પંચાયતના હિંમતનગર તાલુકાના ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા ખેડૂતોની સાથે ચર્ચા કરી ભૂલાહુડા રદ કરવા માટે ધારાસભ્યને રજૂઆત કરનાર હોવાનું કહી તમામ આગેવાનો દ્વારા આંદોલનને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:53 am

દારૂ ઝડપાયો:ભાભરમાં ખેતરમાંથી 241 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

ભાભર પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે મામલતદાર કચેરીના પાછળના વિસ્તારમાં આવેલ રણધીરસિંહ વિક્રમસિંહ રાઠોડના ખેતરમાંથી જુવારના પુળા નીચે પ્લાસ્ટિકના ધાબળાથી ઢાંકીને છુપાવેલ રૂ.51 હજારની દારૂની 241 બોટલ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી રણધીરસિંહ વિક્રમસિંહ રાઠોડ ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:50 am

યુરિયા ખાતર માટે રઝળપાટ:ઝેરડામાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો

ડીસા તાલુકાના ઝેરડા પંથકમાં રવિ સિઝનના પાક, ખાસ કરીને તંબાકુ માટે જરૂરી યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાતા ખેડૂતો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. છેલ્લા લગભગ 20 દિવસથી ખાતર માટે ખેડૂતોને વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે છતાં પૂરતું ખાતર મળતું નથી.સાથે ઘરના કામકાજ પડતા મૂકી ખેડૂત પરિવારમાંની મહિલાઓને પણ લાઇનમાં ઊભા રહેવું પડે છે. દુકાનો આગળ લાઇન લાગે છે પરંતુ ઉપલબ્ધ સ્ટોક ઓછો હોવાથી બધાને ખાતર મળતું જ નથી. અછતને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. રવિ સિઝનનું મહત્વપૂર્ણ સમય હાથમાંથી નીકળી ન જાય તે માટે ખેડૂતોએ સરકારને તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:49 am

ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી:શિહોરી નજીકથી બિનઅધિકૃત રેતી વહન કરતું ડમ્પર ઝડપાયું

કાંકરેજ તાલુકાના બનાસ નદી વિસ્તારમાં ચાલી રહેલા બિનઅધિકૃત રેતી ખનન સામે ખાણ-ખનીજ વિભાગે મંગળવારે મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી શિહોરી રોડ પર રેતી ભરેલ ડમ્પર ઝડપી લીધું હતું. બનાસકાંઠાના ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહના માર્ગદર્શન હેઠળ તપાસમાં જીજે.08. એવાય. 4826 નંબરના ડમ્પરને ઉંબરી તરફથી શંકાસ્પદ રીતે આવતું જોઈ તેને રોકી તપાસ કરવામાં આવી હતી. ડ્રાઈવર પાસે રોયલ્ટી પાસ ન મળતા રેતી ચોરીનો કેસ સામે આવ્યો હતો. રોયલ્ટી ઈન્સ્પેક્ટર રાકેશ નંદાણીયા અને ટીમે કાયદેસર કાર્યવાહી કરીને ડમ્પરને સીઝ કરી શિહોરી પોલીસ મથકે મોકલી આપી પાલનપુર ખાણ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, કાંકરેજ તાલુકાના રાણેર, બુકોલી, ઉંબરી, કંબોઇ, દુદાસણ, કસલપુરા અને મોટા જામપુર વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવાયેલા લીજ વિસ્તારમાં રેતી સમાપ્ત થઈ હોવા છતાં ક્યુએલ કોડ ચાલુ હોવાની ચર્ચા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:48 am

સામાજિક સમરસતાના દર્શન થયા:પાલનપુરના સાંગલા ગામે બાબા રામદેવપીરની પ્રતિષ્ઠામાં તમામ સમાજના લોકો જોડાયા

પાલનપુરના સાંગલા ગામે શ્રી બાબા રામદેવપીરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં તમામ સમાજના લોકો જોડાઇને સમરસતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ. આ પ્રસંગે 100 વર્ષના પૂજ્ય રાજેન્દ્રગીરી મહારાજે નાત જાતના ભેદભાવ દૂર કરવા અને એકજૂથ થવા સંદેશો આપ્યો હતો. સાંગલા ગામમાં શ્રી બાબા રામદેવપીરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાઅને મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી રાજેન્દ્રગીરી મહારાજ (જેથી ગામ)એ નાત જાતના ભેદભાવ દૂર કરવા અને એકજૂથ થવા સંદેશો આપ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા તેમજ યજ્ઞ, મૂર્તિ સ્થાપના, શિખર પૂજનમાં સમસ્ત હિન્દુ સમાજની તમામ જ્ઞાતિ અને સમાજના લોકો કોઈપણ ભેદભાવ વગર જોડાઇને સમરસતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતુ. મહોત્સવના મુખ્ય દાતા સામાજિક સમરસતા પ્રાંતના સદસ્ય ડો. ગીરધરભાઇ પટેલ રહ્યા હતા. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ડો. પી. એલ. દેસાઇ, ડો. હિતેન્દ્ર ભાવસાર, વિશ્વ હિન્દુ પરિષદના બનાસકાંઠા વિભાગ મંત્રી બાબુભાઈ ચડોખીયા, સામાજિક સમરસતા પ્રાંત સદસ્ય પ્રકાશભાઈ ધારવા, સાંગલા ગામના સરપંચ રમેશભાઈ ચૌધરી, ઘેમરભાઈ ગાડરિયા, કનૈયાલાલ શ્રીમાળી, શામળભાઇ પરેચા, ગોરધનપુરી ગૌસ્વામી, નારણભાઇ વાલ્મિકી, વશરામભાઈ રૂપાવટ, ખેમાજી ઠાકોર, ગુલાબચંદ મેવાડા સાથે ગામની દીકરીઓન તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહી હતી. 50 વર્ષ અગાઉ સ્થાપના કરાઈ છે પરમ પૂજ્ય રાજેન્દ્રગીરી મહારાજ દ્વારા આજથી આશરે પચાસ વર્ષ પહેલા ગામમાં શિવજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તેમની પ્રેરણાથી આ મંદિરમાં પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ગામને હિન્દુ ગામ સમરસ ગામ બનાવ્યું હતું. તેઓની ઉંમર 100 વર્ષ આસપાસની હોવા છતાં જોમ જુસ્સા સાથે નાત જાતના ભેદભાવ દૂર કરવા સામાજીક સમરતાનું કાર્ય કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:43 am

નાયબ મુખ્યમંત્રી કરશે‎ લોકાર્પણ:વડગામમાં લાઇબ્રેરી,પાલનપુરમાં ઈન્ડોર હોલ અને ડીસામાં રમત સંકુલ ખુલ્લું મુકાશે

બનાસકાંઠામાં આજે રૂ. 27.56 કરોડના વિકાસ કાર્યોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાથી શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે નવી ગતિ મળશે. વડગામમાં આધુનિક લાઇબ્રેરી, પાલનપુરમાં ઈન્ડોર હોલ અને ડીસા ખાતે રમત સંકુલ જેવા પ્રોજેક્ટોથી યુવાનોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે, છતાં રમતવીરો માટે હોસ્ટેલ, સ્વિમિંગ પૂલ અને 400 મીટર સિન્થેટિક ટ્રેકની ખોટ વર્તાઈ રહી છે. જિલ્લામાં આધુનિક શિક્ષણ અને રમતગમત સુવિધાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.27.56 કરોડના વિવિધ પ્રોજેક્ટનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડગામ ખાતે આધુનિક લાઇબ્રેરી, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ અને ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પાલનપુરમાં રૂ.9.20 કરોડના ખર્ચે બનેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ જેવી રમતો રમી શકાશે.જ્યારે આઉટડોરમાં ફૂટબોલ ગ્રાઉન્ડ, એથ્લેટિક્સ ટ્રેક, કોર્ટ્સ જેવી રમતો રમાશે. અહીં CCTV, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ, ફાયર સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે ડીસામાં રૂ.14.35 કરોડના ખર્ચ 28,329 ચો.મી. વિસ્તાર માં બનેલ તાલુકા રમત સંકુલમાં લોન ટેનિસ, બાસ્કેટબોલ, સ્કેટિંગ, કબડ્ડી, ખો-ખો, લોન્ગ જમ્પ જેવી રમતો રમાશે. અહીં આંતરિક રસ્તા, પાર્કિંગ, લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જિલ્લામાં હજુ પણ હોસ્ટેલ, સ્વિમિંગ પૂલ અને 400 મીટરનો સિન્થેટિક ટ્રેક નથી બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ રમતવીરો(છોકરા-છોકરી) માટે 150-150 બેડની હોસ્ટેલ, સ્વિમિંગ પૂલ અને 400 મીટરનો સિન્થેટિક ટ્રેક નથી. જેના કારણે ખેલાડીઓને અગવડતા પડે છે. ખેલાડીઓ માંગ કરી રહ્યા છે કે, આ સુવિધાઓ તાત્કાલિક મળે તો આવનાર સમયમાં જિલ્લાના વધુ રમતવીરો સુવિધાનો લાભ લઈને પોતાનું પ્રદર્શન સારી રીતે કરી શકે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:42 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાલનપુરમાં ફૂટપાથ પર વાહનોનું પાર્કિંગ લોકો રસ્તા પર ચાલવા મજબૂર

પાલનપુરમાં આંતરિક માર્ગોની આજુબાજુ 50 વર્ષ અગાઉ બનાવેલા શોપિંગ સેન્ટરોમાં વાહન પાર્કિંગની સુવિધા નથી. પરંતુ 10 વર્ષ અગાઉ બનેલા શોપિંગ સેન્ટરોમાં પાર્કિગના નિયમોનો અમલ કરાયો છે. જ્યાં નિયમોનું પાલન થાય છે કે કેમ તેની દિવ્ય ભાસ્કરની ટીમે સ્થિતિ તપાસતાં સામે આવ્યું હતુ કે, ગુરૂનાનક ચોક નજીકની એસ. બી. આઇ. બેંક જ્યાં ખસેડવામાં આવી છે તે જહાંનઆરા બાગ સામેના શોપિંગમાં પાર્કિંગની વ્યવસ્થા છે. પરંતુ બેંક સામે જાહેર માર્ગની બાજુમાં જ વાહનો પાર્ક કરી રહ્યા છે. ત્યાંથી આગળ જતાં ગલબાભાઇના પુતળા પાસેના શોપિંગ સેન્ટરમાં પણ આવી જ હાલત છે. અહિંયા એચ. ડી. એફ. સી. બેંક, આઇ. ડી. એફ. સી. બેંક, યશ બેંક, સહિત અનેક દુકાનો આવેલી છે. જેની આગળ જ જાહેર માર્ગ ઉપર બાઇક પાર્ક કરવામાં આવી રહ્યા છે. આગળ જતાં ગઠામણ દરવાજા વિસ્તારમાં સ્ટેશનરી, હોસ્પિટલો સહિત અનેક દુકાનો આવેલી છે. અહિંયા પણ પાછળના ભાગે પાર્કિગની સુવિધા છે. પરંતુ ફોર વ્હિલર અને ટુ વ્હિલર જાહેર માર્ગની બાજુમાં જ પાર્ક થઇ રહ્યા છે. સીટીલાઇટ રોડ નજીક દુકાનોની ગલીઓમાં પાર્કિંગ છે. પાવર હાઉસમાં પે- પાર્કિંગ છે. છતાં ત્યાં વાહનો પાર્ક કરવામાં આવતા નથી. નગરપાલિકામાં વર્ષ 2021માં ટાઉન પ્લાનીંગ કમિટીની બેઠકમાં શહેરના જુદાજુદા સ્થળોએ બંધ પડેલા પાર્કિંગ ખુલ્લા કરવા, પાર્કિંગની સ્થિતિ જાણવાનો ઠરાવ કરાયો હતો. પરંતુ તે પછી નિયમિત તપાસ થઇ નથી. જેના કારણે આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. સીટીલાઈટ રોડ ગલબાભાઈની પ્રતિમા સામે

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:40 am

ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ:હારિજ હાઈવે પર મગફળી ભરેલી 150 ટ્રકોની 1 કિમી લાંબી કતાર

બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો સ્ટોક હારિજ-ચાણસ્મા હાઈવે પરના પ્રાઇવેટ ગોડાઉનોમાં ભરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી રોજબરોજ મગફળી ભરેલી ટ્રકો ઉમટી પડતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. બુધવારે સોઢવ બસ સ્ટેન્ડ નજીકનાં બે ગોડાઉનોમાં 150 જેટલી ટ્રકો એકસાથે પહોંચતા હાઈવે પર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઇન જામી હતી. ગોડાઉનોમાં ખાલી થવામાં વિલંબ થતાં વાહનોની કતાર હાઈવે પર જામી હતી. જેના કારણે અન્ય વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:36 am

રેલી દ્વારા મહિલાઓએ રોષ કર્યો આક્રોશ:સમીના ગાજદીનપુરા ગામે મહિલાઓએ દારૂનું વેચાણ બંધ કરવા રેલી કરી વિરોધ પ્રદર્શિત કર્યો

સમીના ગાજદીનપુરામાં ગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણને કારણે ઘરના પુરુષો અને દીકરાઓ નશાના રવાડે ચડી રહ્યા હોય મહિલાઓએ આ દૂષણને જડમૂળમાંથી દૂર કરવાનો સંકલ્પ લઈ ગામની મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરીને રેલી અને નારાબાજી સાથે મહિલાઓનો મોટો સમૂહ એકત્ર થઈ દારૂના વેચાણ સામે રેલી સ્વરૂપે ગામમાં ફર્યો હતો. દારૂ વેચાણ બંધ કરો ના આક્રોશભર્યા નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન, મહિલાઓએ ગામમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર ઉપર દારૂનું વેચાણ બંધ કરવા માટે રસ્તા ઉપર જ હોબાળો મચાવ્યો હતો. સાથે દારૂ વેચાણ બંધ નહીં થાય તો જનતા રેડની ચીમકી આપી હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. ગામના આગેવાને નામ ના આપવાની શરતે માહિતી આપતા જણાવ્યું હતું કે મહિલાઓએ દારૂનું વેચાણ કરનારા તત્ત્વોને સ્પષ્ટ શબ્દોમાં માત્ર 5 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું છે. મહિલાઓએ સત્તાવાર ચીમકી ઉચ્ચારી છે કે, જો 5 દિવસની અંદર ગામમાં ગેરકાયદે પ્રવૃત્તિ બંધ નહીં થાય, તો અમે મહિલાઓ હવે કાયદાને હાથમાં લઈશું. મોટી સંખ્યામાં એકત્ર થઈને પોલીસને બોલાવીને દારૂ વેચનારાઓને ખુલ્લેઆમ પકડાવી દઈશું. ગામમાં દારૂ વેચાતો નથી કે જનતા રેડ થઈ નથી : PSIસમી પીએસઆઈ એ.પી.જાડેજા જણાવ્યું હતું કે ગામમાં કોઈ જગ્યાએ દારૂ વેચાતો નથી.આજુબાજુથી દારૂ પીને આવ્યો હોય કોઈ દારૂડિયાના ત્રાસના કારણે કદાચ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો હશે. અમને દારૂ વેચાણ બાબતે કોઈ વર્ધી કે જાણ કરવામાં આવી નથી.કોઈ જનતા રેડ થઈ નથી. કોઈએ વીડિયો વાયરલ કરી આ ખોટી રીતે પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:35 am

ચોરીનો ભેદ ઉકેલાયો:સંખારીના ચેહર માતાના મંદિરમાં ચોરી કરનાર શખ્સ ગામનો નીકળ્યો

પાટણ તાલુકાના સંખારી ગામે આવેલા ચેહર માતાના મંદિરમાં ચાંદીના છત્તરની ચોરી થતાં ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં શખ્સ કેદ થઈ જતા ચોરીનો ભેદ ઉકેલાયો છે. સંખારી ગામે આવેલ રબારી સમાજના ચેહર માતાના મંદિરમાં સોમવારે બપોરે ચોરીની ઘટના બની હતી સાંજે રબારી સમાજ લાકો મંદિરે દર્શન કરવા જતાં ચાર ચાંદીના છત્તર ન જોવા મળતા ચોરી થયાનું અનુમાન થતા જ રણુંજ પોલીસને જાણ કરી હતી. પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ ચકાસતા ગામનો જ ચેતન દિનેશભાઇ પરમાર ચાંદીના છત્તરની ચોરી કરતાં કેમેરામાં કેદ થયો હતો. રણુંજ પોલીસે શખ્સને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ચાંદીના છત્તરની ચોરીની કબૂલાત કરી હતી.ગામનો જ યુવક મંદિરમાં ચોરી કરતો ઝડપાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. એક મહિના અગાઉ પણ આજ મંદિરમાંથી ચાંદીના 10 છત્તરની ચોરી થઈ હતી.તેની પણ કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ચેતન પરમારને મંદિરની જગ્યા ઉપર લઈ જઈને રિકન્ટ્રકશન કર્યું હતું. આ ચોરીમાં ગામનો ભરતભાઇ ગોવાભાઈ પરમાર પણ સામેલ હોવાનું આરોપીએ કબુલ્યું હતું. ગામમાં થઈ રહેલ મંદિર ચોરીની ઘટનાઓને લઈને એક દિવસ અગાઉ જ ગામના સરપંચ સહિતના સભ્યો ગામ પંચાયત આગળ જ હડતાળ ઉપર બેઠા હતા અને ચોરોને પકડવા માટે માંગ કરી હતી.હાલમાં રણુંજ પોલિસે ચોરીનો મુદામાલ કઈ જગ્યાએ વેચ્યો હતો.તે દિશા તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:34 am

વાહનોનાં વેચાણમાં 40%નો ઉછાળો‎:પાટણ જિલ્લામાં GST ઘટાડાથી ગત વર્ષ કરતા 72 દિવસમાં 380 કાર,3404 બાઈક વધુ વેચાયા

પાટણ જિલ્લાના ઓટોમોબાઇલ બજારમાં આ વર્ષે નવરાત્રી (22 સપ્ટેમ્બર-2025) પછી ધૂમ મચી ગઈ છે. કેન્દ્ર સરકારે ફોર-વ્હીલ અને ટુ-વ્હીલ વાહનો પર GSTમાં 10 ટકાના કરેલા તોતિંગ ઘટાડાના કારણે ગ્રાહકોને ડાઉન પેમેન્ટમાં સીધો 20% જેટલો મોટો ઘટાડો થયો હોય પરિણામે જિલ્લામાં 72 દિવસના સમયગાળામાં કુલ 1386 નવી કાર અને 10418 બાઈક-એક્ટિવાનું વેચાણ થયું છે. આરટીઓ કચેરીના સત્તાવાર આંકડાઓ અનુસાર, આ વર્ષે થયેલું વેચાણ ગત વર્ષની સરખામણીએ ઘણું વધારે છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 1006 કાર અને 7014 બાઈક-એક્ટિવા વેચાયા હતા. વર્ષ 2024માં કાર 1006 અને બાઇક / એક્ટિવા 7014 વેચાયા હતા. વર્ષ 2025 માં આ સમય ગાળામાં કાર 1386 અને બાઈક અને એક્ટિવા 10,418 વેચાણ થઈ છે.વેચાણમાં આટલો મોટો ઉછાળો આવવા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. જેમાં GSTનો ફાયદો થતા ડાઉન પેમેન્ટમાં મોટો ઘટાડો સાથે તે સમય દરમિયાન દૂધ મંડળીની ડેરીઓમાં પગાર વધારો આવ્યો હોય ખેડૂતો પાસે આવક થતા ખરીદીમાં વધારો થયો છે. કારમાં રૂ.1 લાખ, બાઇકમાં 6500નો ફાયદોકાર શોરૂમ મેનેજર નિલેશ દવેએ જણાવ્યું હતું કે, GST ઘટાડાથી ગ્રાહકોને ₹65,000નો સીધો ફાયદો થયો, જે શો રૂમની સ્કીમ સાથે મળીને લગભગ ₹1 લાખ સુધી પહોંચી ગયો હતો. તેના લીધે બુકિંગ એટલા બધા હતા કે નવી કાર માટે 20 દિવસનું લાંબું વેઇટિંગ નોંધાયું હતું. બાઈક શોરૂમના મેનેજર અનિલ ભારથી ગોસ્વામીએ કહ્યું કે, GSTના કારણે ₹6500નો ફાયદો થયો. પરંતુ, સૌથી મોટું કારણ ડાઉન પેમેન્ટનું ઓછું થવું અને પશુપાલકોને દૂધ મંડળી મારફતે ₹2200નો વધારાનો લાભ મળવો છે. આર્થિક રાહત મળતા બાઈક-એક્ટિવાની ખરીદીનો ક્રેઝ વધ્યો અને 7 દિવસનું વેઇટિંગ જોવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:33 am

વિકાસના કામોનું ખાતમુહૂર્ત:કમલીવાડા,રણુંજ અને ગદોસણ ગામમાં 2.10 કરોડના 3 સુવિધાપથનું ખાતમુહૂર્ત

​પાટણ તાલુકાના ત્રણ ગામોમાં ધારાસભ્ય કિરીટ પટેલે 2.10 કરોડના સુવિધાપથનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં કમલીવાડા ગામે રૂ.75 લાખના સી.સી. રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.ત્યારબાદ રૂ.75 લાખના ખર્ચે રણુંજ ખાતે રણુંજ-મણુંદના સી.સી.રોડ તેમજ ગદોસણ ગામને રૂ.40 લાખનો સુવિધાપથ અને રૂ.20 લાખના એપ્રોચ રોડ રિસર્ફેસિંગ સહિત કુલ રૂ.60 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલનું ત્રણેય ગામમાં આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તાની સુવિધામાં મોટો વધારો થશે. લોકોને અવરજવરમાં પડતી હાલાકીનો અંત આવશે.અને બન્ને ગામના લોકો એકબીજા ગામમાં સરળતાથી જઇ શકશે. આ કાર્યક્રમમાં પાટણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રવણસિંહ ઠાકોર તેમજ ગામના આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:32 am

નાયબ ‎‎મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મળ્યો એવોર્ડ:સિદ્ધપુરના યાજ્ઞિક ચૌહાણને અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-2025 એનાયત કરાયો

ગુજરાતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને કલા સંવર્ધનના કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યાજ્ઞિક ચૌહાણને થિયેટર (નાટ્ય) ક્ષેત્રે તેમની વિશેષ સિદ્ધિ બદલ એવોર્ડ એનાયત થયો હતો. ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને લોકો સુધી પહોંચાડવાના ભગીરથ કાર્ય સાથે સંકળાયેલા 80 જેટલા ઉપાસકોનું આ પ્રસંગે સન્માન કરાયું હતું. લોકસાહિત્ય, હેરિટેજ, લેખન અને કલા સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારા બાળકો, યુવા અને વડીલોની આ એવોર્ડ માટે પસંદગી કરી હતી. સિદ્ધપુરના વતની યાજ્ઞિક ચૌહાણે થિયેટરના માધ્યમથી ગુજરાતની કલા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હોય જે બદલ આ એવોર્ડ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. આ સન્માનથી પાટણ જિલ્લાના કલા જગતમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:29 am

વાહનચાલકોની હાલત ‎‎કફોડી બની:પાટણમાં કોલેજ રોડ પર એક સાઇડનો રસ્તો બંધ કરતા વાહનચાલકોને હાલાકી

પાટણના કોલેજ રોડ ઉપર પાણીની સ્ટ્રોમ ડ્રેનેજ વોટર લાઇન નાખવાની તેમજ રોડની કામગીરીને લઈને ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. ​પાટણ શહેરના મુખ્ય માર્ગ પૈકીના એક એવા કોલેજ રોડ પર બનાવેલ ટી આકારના ઓવરબ્રિજ નીચે છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રોમ વોટરની પાઇપલાઇન તેમજ રોડની કામગીરી હવે શહેરીજનો માટે મુસીબત બની ગઈ છે. કોલેજ રોડ પર એકસાથે ત્રણથી વધુ સ્થળોએ ખોદકામ અને ચેમ્બર બનાવવાની કામગીરી ચાલતી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ પરથી પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું છે. જિલ્લા વિકાસ અધિકારીના નિવાસસ્થાન તરફના રોડનો કામગીરી ચાલુ છે. જેના કારણે અવરજવરનો એક માત્ર રસ્તો બંધ થઈ ગયો છે.અને કામગીરીના કારણે આખો રોડ સાંકડો થઈ ગયો છે. એક તરફ ધૂળના ગોટેગોટા ઉડે છે તો બીજી તરફ ખોદકામના કારણે ઠેર-ઠેર કપચી અને માટીના ઢગલા પડ્યા છે.વહેલી સવાર અને સાંજના સમયે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:27 am

અકસ્મતાને નોતરું:તાવડીયા રોડ પર નદી-દીવાલ વચ્ચે માટી ધોવાઇ જતાં જોખમ

મહેસાણા તાલુકાના પીલુદરા થી તાવડીયા ગામ ના રસ્તા ઉપર નાની રૂપેણ આવેલ છે. જેમાં સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડી ભરવામાં આવે છે તેની બાજુ માં ચિત્રોડીપુરા ગામ જવા કાચો રસ્તો આવેલ છે, જ્યાંથી લોકો અવરજવર કરે છે. આ નાની રૂપેણ અને રસ્તા વચ્ચે સુજલામ સુફલામ યોજના મહેસાણા દ્વારા સંરક્ષણ દિવાલ બનાવેલ છે, પરંતુ દિવાલ અને નદી વચ્ચે માટી પુરાણ નહીં કરવાથી નાના બાળકો તેમજ પશુ ઓ અંદર પડવાથી અકસ્માત થવાનો ભય રહે છે. આશરે 6 માસ પહેલા દિવાલ બનાવી છે રસ્તા અને પાણી ના વહેલા વચ્ચે સંરક્ષણ દિવાલ બનાવી છે, દિવાલ અને પાણી ના વહળો વચ્ચે માટી પુરાણ કરેલ નથી .જેથી સત્વરે માટી પુરાણ કરી રસ્તો સમતલ થાય તેવી માંગ છે. આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર સુજલામ સુફલામ ને લેખિત જાણ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:25 am

બેંકની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ઉમેદવારો દ્વિધામાં:ખેરાલુ નાગરિક સહ.બેન્કની ચૂંટણી પરનો સ્ટે 15 ડિસેમ્બર સુધી લંબાયો

ખેરાલુ નાગરિક સહકારી બેન્કની બહુચર્ચિત ચૂંટણી પ્રક્રિયા સામે ચાલી રહેલા કાનૂની જંગમાં બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે ચૂંટણી પ્રક્રિયા પરનો સ્ટે જે આજે પૂરો થતો હતો, તેને 15મી ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. બેંકના વકીલે કરેલી દલીલોને લઈ બેંકની ચૂંટણી સામે સવાલ ઊભા થયા છે. બેન્કે એવી દલીલ કરી છે કે, અમે આ પ્રકારે પાછલી ત્રણ ટર્મથી ચૂંટણી કરીએ છીએ અને અન્ય બેન્કો પણ કરે છે. જોકે, સહકારી કાયદાનુસાર અને રિઝર્વ બેંકના નિયમોનુસાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી. જેથી આ સમગ્ર મામલો એક તપાસનો વિષય બનતો હોઈ ફરિયાદી પક્ષના વકીલે 12 સુધી બેંકની ચૂંટણી સામે લંબાયેલો મનાઈ હુકમ વધુ લંબાવવા માંગણી કરી હતી. જે અરજીને વંચાણે લઈ બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે મનાઈહુકમ 15 ડિસેમ્બર સુધી લંબાવતો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:22 am

ઉ.ગુ.માં સિઝનનું 62.34% વાવેતર:12.02 લાખ હેક્ટરના અંદાજ સામે 7.49 લાખ હેક્ટરમાં વાવેતર,ઘઉંનો હિસ્સો 25% અને રાઇનો હિસ્સો 22% રહ્યો

શિયાળાની સિઝનમાં ઉત્તર ગુજરાતની 12.02 લાખ હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં 7.49 લાખ હેક્ટર સાથે સિઝનનું 62.34% વાવેતર પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ 1.93 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે કુલ વાવેતરનો 25.76% હિસ્સો છે. જ્યારે 1.67 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું છે, જે કુલ વાવેતરના 22.30% હિસ્સા બરાબર છે. આ ઉપરાંત બટાટાનું 1,18,081 હેક્ટર, ઘાસચારાનું 1,00,395 હેક્ટર, ચણાનું 63,448 હેક્ટર, તમાકુનું 32,514 હેક્ટર, જીરૂનું 27,718 હેક્ટર, શાકભાજીનું 14,805 હેક્ટર, મકાઈનું 9,661 હેક્ટર, વરીયાળીનું 7,924 હેક્ટર, અજમોનું 4,745 હેક્ટર, સવાનુ 3,271 હેક્ટર, ઇસબગુલનું 1,241 હેક્ટર, મેથીનું 792 હેક્ટર, લસણનું 365 હેક્ટર, ડુંગળીનું 235 હેક્ટર, ધાણા 189 હેક્ટર અને અન્ય પાકોનું 3,737 હેક્ટર વાવેતર પૂર્ણ થયું છે. ઉ.ગુ.ના 5 જિલ્લામાં વાવેતરની સ્થિતિ

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:22 am

તસ્કરોનો તરખાટ:વિજાપુર ગેસ્ટહાઉસના ધાબા પરથી તસ્કરો એસીના કોમ્પ્રેસર ચોરી ગયા

વિજાપુર શહેરમાં ચોરો ધાબા ઉપર લગાવેલા એસીના કોમ્પ્રેસર ચોરી ગયા છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધી ચોરોની શોધખોળ હાથ ધરી છે. વિજાપુરના ટીબી રોડ પર આવેલી હરદ્વાર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલ શિવાલિક પ્લાઝા બિલ્ડીંગમાં બાલાજી હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ચલાવે છે. ગત 8 ઓક્ટોબરના રોજ નિત્યક્રમ મુજબ સવારે તેમણે ગેસ્ટ હાઉસ ખોલ્યું હતું અને બપોરના સમયે ગેસ્ટ હાઉસના ધાબા ઉપર જતાં એસીના જે આઉટડોર લગાવેલા ખુલ્લા પડ્યા હતા અને તેમાંથી બધો સામાન વેરણ છેરણ પડ્યો હતો. આઉટડોર મશીનમાં લગાવેલા કમ્પ્રેસર અને કોપરની પાઇપો મળી આવી ન હતી. આજુબાજુ તપાસ કર્યા બાદ તેમના ગેસ્ટ હાઉસના ધાબા ઉપરથી રૂ.1.20 લાખની કિંમતના કમ્પ્રેસર અને કોપરની પાઇપનો સામાન કોઈ ચોરી કરી ગયું હોવાનું માલુમ પડ્યું હતું. આથી વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:20 am

વિદેશ મોકલનાર એજન્ટના માનસિક ત્રાસથી કંટાળેલ વિજાપુરના સોખડાના યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મહેસાણા વિદેશ મોકલવા માટેનું કામ કરનાર એજન્ટ અને ઉછીના આપેલ રૂપિયા પરત નહીં આપનાર મિત્રના ત્રાસથી વિજાપુર તાલુકાના સોખડા ગામના યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની પત્નીની ફરિયાદ આધારે વસઈ પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોખડા ગામના પિયુષભાઈ ભોળાભાઈ પટેલે ગત 18 નવેમ્બરના રોજ તેમના ઘરના ઉપરના માળે રૂમમાં પંખાની સાથે બાંધેલ પાઇપ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાધો હતો. કુકરવાડા દવાખાને લઈ જતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક પિયૂષભાઈએ તેમના ગામના સુનિલ રમણભાઈ પટેલને બંને પતિ પત્નીનું પોર્ટુગલ જવા માટેનું કામ રૂ.38.50 લાખમાં આપ્યું હતું. પોર્ટુગલ પહોંચ્યા બાદ તમામ રકમ ચૂકવવાની વાત થઈ હતી. ત્રણ મહિના બાદ સુનિલભાઈએ તમારા વિઝા આવી ગયા છે, તમે પૈસા ચુકવી દો તો કામ આગળ ચાલે તેમ કહેતાં પિયુષભાઈએ અમે ત્યાં પહોંચ્યા પછી તમને પૂરેપૂરું પેમેન્ટ અમારા સંબંધી ચૂકવી દેશેની વાત કરી હતી. પરંતુ સુનિલભાઈ પહેલા પેમેન્ટ નહીં ચૂકવો તો વિઝા કેન્સલ કરાવી દઈશનું કહી પૈસા ભરવા દબાણ કરતો હતો. રૂ.20 લાખ આપી દીધા પછી બાકીના પૈસાની એજન્ટ કડક ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી યુવકે ફાંસો ખાઈને જીવાદોરી કાપી હતી. આત્મહત્યા કરવાનો મોબાઇલથી મેસેજ કયો હતોમરતાં પહેલા પિયુષભાઈએ પોતાના મોબાઇલમાંથી વિસનગરના મિત્ર ભાવિકભાઈને 18 નવેમ્બરના રોજ સવારે 7-33 વાગે આંગડિયા પેઢીની ચિઠ્ઠી અને હું પટેલ પિયુષ ભોળાભાઈ સભાન અવસ્થામાં આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તેનું કારણ વિસનગરના પટેલ ભાવિકભાઈ છે, જેમનો મોબાઇલ નંબર 99256 60270 છે. મેં તેમને 15 લાખ રૂપિયા 4 ઓક્ટોબરના રોજ આપ્યા હતા. હવે તે પાછા આપવામાં આનાકાની કરે છે. હું અને મારો પરિવાર આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ. જ્યારે તેમના બીજા મોબાઇલથી તેમણે એજન્ટ સુનિલ પટેલને 15 ઓક્ટોબરના રોજ એક મેસેજ થકી ચેટિંગ કર્યું હતું. જેમાં હું પિયુષ ભોળાભાઈ પટેલ સભાન અવસ્થામાં આત્મહત્યા કરું છું. તેનું કારણ મને અને મારા પરિવારને પટેલ સુનીલકુમાર રમણલાલ દ્વારા અમારી પાસેથી પાસપોર્ટ લઈને અમને ઓસ્ટ્રેલિયા મોકલવાની વાત કરી હતી પણ તે ના કરીને પોર્ટુગલના વિઝા કરાવ્યા તે પૈસા પેટે અમારી પાસે ઉઘરાણી કરીને મને અને મારી પત્નીને ફોન ઉપર ધમકીઓ આપીને ડરાવે છે માટે હું આ પગલું ભરું છું, તેના માટે તમામ જવાબદાર સુનિલભાઈ છેનું લખ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:18 am

વેધર રિપોર્ટ:રાજસ્થાનની શીતલહેરની અસરથી ઉ.ગુ.માં ઠંડી એક ડિગ્રી વધી 15.2 થઇ

ઉત્તર ગુજરાતમાં બુધવારે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો હતો. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનની ગતિ વધીને સરેરાશ 6 કિમી પ્રતિ કલાક સુધી રહી હતી. સતત વહેતા ઠંડા પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 38 થી 70 ટકા વચ્ચે સીમિત રહ્યું હતું. રાજસ્થાનની શીતલહેરની અસરના કારણે ઉ.ગુ.માં ઠંડીનો પારો 15.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. સવારે હળવી ઝાકળ વરસી હતી. જેના પરિણામે લઘુત્તમ તાપમાનમાં લગભગ સવા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સામાન્ય રીતે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો 13.5 ડિગ્રીની આસપાસ રહેતો હોય છે. તેની સામે સવા ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો 15.2 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જ્યારે દિવસ દરમિયાન તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવું જોઈએ, તેની સામે 30.5 ડિગ્રી રહ્યું હતું. ઠંડા પવનના પ્રભાવથી બપોરે અનુભવાતું તાપમાન માત્ર 28 ડિગ્રી સુધી સીમિત રહ્યું હતું. વહેલી સવાર અને સાંજે ધ્રુજાવતી ઠંડી અનુભવાઈ હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:13 am

ઇમાનદારીનો પરિચય:મહિલાએ કાગળમાં વીંટાળેલી સોનાની 3 વીંટીઓ અજાણતાં કચરાગાડીમાં નાંખી દીધી, કામદારોએ કચરો ફેંદી શોધી આપી

મહેસાણા શહેરમાં ઘરે ઘરે કચરો લેવા આવતી ગાડીમાં અજાણતાં એક મહિલાએ કાગળમાં વિંટાળેલી સોના-ચાંદીની ત્રણ વીંટીઓ પણ કાગળ સાથે નાંખી દીધી હતી. એકાદ કલાક પછી પતિએ વીંટી મૂકેલો કાગળ નહીં મળતાં પત્નીને પૂછ્યું ત્યારે ખબર પડી કે ગાડીમાં નાખેલ કાગળમાં તો વીંટીઓ હતી. આથી તરત કોલ કરીને જાણ કરતાં એજન્સીના કામદારોએ ગાડીમાં કચરામાંથી આ વીંટીઓ શોધી આપી હતી. કચરા ગાડીમાં ભૂલથી ત્રણ વીંટીઓ નખાઇ ગઇ છે અને તે કાગળમાં વીંટાળેલી છે તેવી જાણ માલિકે કરતાં નાગેશ કોર્પોરેશનના ઝોનલ મેનેજર જલુભાઇએ તરત જીયો ટેગીંગથી ગાડીનું લોકેશન મેળવ્યું અને તેના ડ્રાઇવરને કોલ કરી ડમ્પિંગ સાઇડ ગાડી લઇને બોલાવી વીંટીઓ શોધી આપી હતી. શોધતાં 20 મિનિટ લાગીઝોનલ મેનેજર જલુભાઇ દેસાઇએ કહ્યું કે, ગાડીનું લોકેશન ટ્રેક કરી અધવચ્ચેથી બોલાવી લીધી હતી. કચરામાં શોધખોળમાં 20 મિનિટ લાગી હતી. કારણ કે, ટીસ્યુ પેપર જેવા કાગળમાં વીંટીઓ હતી. ગાડીનો ફેરો ભલે બીજો થાય પણ કિમતી વસ્તુ હોઇ અધવચ્ચેથી ગાડી પરત બોલાવી. વીંટી મળ્યા પછી ફરી તે રૂટમાં કચરો લેવા ગાડી મોકલી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:11 am

ભાસ્કર ફોલોઅપ:કડીના યુવકને ડિજિટલ એરેસ્ટ કરી પડાવેલા 10 લાખથી દેશમાં 48 જગ્યાએ ડીઝલ પુરાવ્યું

કેટલાક દિવસો પૂર્વે કડીના વૃદ્ધ તેમજ મહેસાણાના નિવૃત્ત તબીબને 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ.40 લાખ તેમના ખાતામાંથી ટ્રાન્સફર કરાવનાર સાયબર ઠગ ટોળકી દ્વારા જે ખાતાઓમાં રૂપિયા જમા કરાવાયા છે . તે તમામ ખાતાઓની તપાસ હાથ ધરતાં કડીના વૃદ્ધ પાસેથી ટ્રાન્સફર કરાવેલા રૂ.10 લાખ પૈકી 7.98 લાખ દેશમાં અલગ અલગ 48 ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા હતા અને આ ખાતામાંથી તમામ રૂપિયા થકી પેટ્રોલ પંપથી અલગ વાહનોમાં ડીઝલ પુરાવી દેવામાં આવ્યું છે. સાઇબર ઠગોની આ નવી મોડસ ઓપરેન્ડીને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે. ગત 12 નવેમ્બરના રોજ કડીના વૃદ્ધને અજાણ્યા મોબાઈલ નંબરથી આવેલા વીડિયો કોલમાં સામે પોલીસના ડ્રેસમાં બેઠેલા શખ્સે પોતે મહારાષ્ટ્ર પોલીસમાંથી બોલે છે અને તેના ખાતામાં સાયબર ફ્રોડના રૂ.4.90 કરોડ જમા થયા છે અને તમારા ઉપર ગુનો દાખલ કરવાનો છેનું કહી વૃદ્ધના ખાતામાંથી રૂ.10 લાખ આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસની મહેસાણા સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે તપાસ હાથ ધરતાં મુખ્ય જે ત્રણ ખાતામાં 10 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેમાંથી દેશના અલગ અલગ 48 ખાતામાં રૂ.7.98 લાખ ટ્રાન્સફરકરાવી, આ રૂપિયા થકી વિવિધ વાહનોમાં‎ડીઝલ પુરાવી દેવામાં આવ્યું છે. સામે‎અજાણ્યા શખ્સોએ કમિશન આપીને પેટ્રોલ‎પંપ પાસેથી રોકડા રૂપિયા લઈ લીધા છે.‎ સામાન્ય રીતે જેના ખાતામાં સાયબર ફ્રોડ‎રૂપિયા જમા થયા છે અને તેને ઉપાડી જે‎માણસ થકી અન્યને અપાય છે તે પોલીસની‎તપાસમાં ખબર પડી જાય છે અને તેઓ‎ઝડપાઈ જાય છે. જેને લઇ સાયબર ઠગની‎ટોળકી દ્વારા આ નવી મોડસ ઓપરેન્ડી‎અપનાવવામાં આવી છે.‎ મહેસાણાના નિવૃત્ત તબીબના રૂ.30 લાખ ઉપડી ગયા‎સાઇબર ક્રાઇમના બીજા ગુનામાં, મહેસાણાના નિવૃત્ત તબીબને સળંગ 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.30 લાખ જે ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા છે, તે તમામ રાજસ્થાન, મુંબઈ, મધ્યપ્રદેશના ઇન્દોર સહિત અન્ય રાજ્યના અલગ અલગ ખાતાં હોવાનું અને આ તમામ રૂપિયા તે ખાતામાંથી ઉપાડી પણ લેવાયાંનું બહાર આવ્યું છે. મહેસાણાની ટીમ આ ખાતાઓની ડિટેઇલ તપાસી રહી છે. જેને આધારે આગામી દિવસોમાં અન્ય રાજ્યના ઠગોની પણ ધરપકડ થઇ શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:10 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ત્રણ કિમી સીસી રોડનું કામ પૂરું થતાં આઠ મહિના લાગશે બહુચરાજી તરફ જવા ભારે વાહનોને આઠ કિમીનું ચક્કર

મહેસાણાના પાલાવાસણા સ્થિત જનપથ હોટેલ સામેથી બહુચરાજી તરફ જતો લગભગ 3 કિમીનો માર્ગ રૂ.29 કરોડના ખર્ચે નવીન સીસી રોડ બનાવવાનું કામ હાથ ધરાયું છે. આ સીસી રોડનું કામ આગામી જુલાઇ 2026 સુધીમાં પૂર્ણ કરાશે. હાલમાં મહેસાણા શહેર તરફના ભાગમાં રોડની એક બાજુ બંધ કરીને કામ શરૂ કરવામાં આવ્યું છે, તેથી વાહનો હાલ એક જ બાજુથી પસાર થઈ રહ્યા છે. વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે, આગામી બે દિવસમાં નવા ડાયવર્ઝન રૂટનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થશે. ભારે વાહનો સુવિધા સર્કલથી શિવાલા સર્કલ થઇને પાલાવાસણા સર્કલના માર્ગે અવર-જવર કરી શકશે. જેમાં ભારે વાહનોએ આઠ કિમીનું ચક્કર કાપવું પડશે. જ્યારે નાનાં વાહનો નાગલપુર ગામમાં જઈને મહેસાણા તરફ આવવાનું ડાયવર્ઝન અપાશે. શહેરને ભારે વાહનોની હેરાનગતિથી રાહત મળશે હાલના માર્ગે મહેસાણાથી બહુચરાજી તરફ જવા માટે સુવિધા સર્કલ સુધીનું અંતર 5 કિમી છે, જેને પાર કરવામાં લગભગ 9–10 મિનિટનો સમય લાગે છે. ડાયવર્ઝન લાગુ થવાથી નાના વાહનો સુવિધા સર્કલથી સીધા નાગલપુર થઈ મહેસાણામાં આવી શકશે. આ માર્ગ 4 કિમીનો છે અને તેને પાર કરવામાં આશરે 9 મિનિટ લાગશે. ભારે વાહનો માટે સુવિધા સર્કલથી શિવાલા સર્કલ અને ત્યાર બાદ પાલાવાસણા સર્કલનો માર્ગ અપનાવવો પડશે. આ આખું અંતર 8 કિમીનું થઈ જાય છે અને તેને પાર કરવામાં આશરે 15 મિનિટનો સમય લાગે છે. ભારે વાહનોની શહેર તરફની અવરજવર બંધ થતાં આરટીઓ અને જલભવન વિસ્તારમાં વારંવાર થતો ટ્રાફિકજામ ઘટશે. ઉપરાંત, સુવિધા સર્કલથી શહેરમાં પ્રવેશતા ભારે વાહનોની સંખ્યા પણ ઘટશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:07 am

કમકમાટીભર્યો અકસ્માત:સિગ્નલ આપ્યા વિના ટર્ન લેતા બાઇક ચાલકનું અકસ્માતમાં મોત

નેશનલ હાઈવે 53 હાઇવે પર વ્યારાના ખુશાલપુરા ગામની સીમ નજીક બુધવારે કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક ને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉચ્છલ તાલુકાના વડદેખુર્દ ગામ ના રહેતા અને માછલી વેચવાના ધંધા સાથે જોડાયેલા ધીરૂભાઈ સાજીયાભાઈ ગામીત ઉંમર 40 પોતાની હોન્ડા સાઇન મોટરસાયકલ (નં. GJ-26-AD-5722) પર સોનગઢથી બારડોલી તરફ જઇ રહ્યા હતા. ત્યારે આશરે 10:30 વાગ્યે ખુશાલપુરા નજીક આવેલ રેલ્વે બ્રિજ પાસે આવેલા યુ-ટર્ન પર બારડોલી તરફથી આવતા કંટેનર ટ્રક નં. NL-01-AC-5042 ના ચાલકે કોઈપણ પ્રકારનું સાઇડ અથવા વૉર્નિંગ સિગ્નલ આપ્યા વગર ગેરકાયદેસર રીતે યુ-ટર્ન લેતા ધીરૂભાઈની બાઇક સાથે અક્સ્માત થયો હતો. જેમાં ધીરૂભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. મૃતકના ભાઈ દસિયાભાઈ ગામીતે વ્યારા પોલીસે ફરિયાદ નોંધાવતાં ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક ગફલતથી ડ્રાઈવિંગ કરી મોત નિપજાવવાના ગુનામાં કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:03 am

શ્વાન આડું ઉતરતા અકસ્માત:રસ્તામાં અચાનક કૂતરું આવી જતા બાઇક સ્લીપ થતા બનેલી ઘટના

ગણદેવીમાં રહેતા મિતુલ અનિલભાઇ છત્રીવાલા તા. 28 નવેમ્બર ના રોજ સાંજે 8 વાગ્યાના સુમારે મિતુલ અનિલભાઈ છત્રીવાલા (ઉ.વ. 31) તેમની બાઇક (નં. GJ-21-BS-9702) પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને જઈ રહ્યા હતા. માણેકપોર-ટંકોલીગામ, વિનાયક વડાપાંવની દુકાન પાસેના સ્ટેટ હાઇવે રોડ પર પસાર થતા હતા ત્યારે અચાનક તેમની બાઇકની આગળ અચાનક કૂતરૂં આવી જતાં તેઓ સ્લીપ થઈને પડી ગયા હતા. અકસ્માતમાં મિતુલભાઈને હાથ-પગના ભાગે સામાન્ય અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. નવસારીમાં હાલ રખડતા કૂતરાઓને લઇ વહીવટી તંત્ર દ્વારા ખસીકરણની કામગીરી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:00 am

અદ્ભુત પ્રદર્શન:વ્યારાની ધ્રુવી પંચાલે ખેલો ઇન્ડિયામાં સાધ્યું નિશાન અને મેળવ્યો ગોલ્ડ મેડલ

સફળતા એક દિવસમાં નહીં, પરંતુ એક દિવસ જરૂર મળે છે. ધોરણ-7માં જાગેલો જુસ્સો આજે રાષ્ટ્રીય મંચ પર ચમક્યો; ૨૦૨૮ ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ અપાવવાનો લક્ષ્યાંક મારે મારા માતા-પિતાનું નામ રોશન કરવું છે, આ વિચારને હકીકતમાં ફેરવવા સતત અને સખત મહેનતની જરૂર પડે છે. તાપી જિલ્લાની વ્યારા નગરની દીકરી ધ્રુવી આશિષ પંચાલે આ વાત સાબિત કરી બતાવી છે. તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં ધ્રુવીએ 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને જિલ્લા તથા રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ધ્રુવી જણાવે છે કે, કે.બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે ડી.એલ.એસ.એસ. સ્કીમ હેઠળ તેને પ્રથમવાર પ્રેક્ટિસની તક મળી. પ્રથમ જ ડિસ્ટ્રિક્ટ મેચમાં ગોલ્ડ મેડલ મળતાં તેનો આત્મવિશ્વાસ બમણો થઈ ગયો. ધીમે ધીમે તે રાજ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી. એસ.ડી. જૈન કોલેજના સહયોગથી તેણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ખેલો ઇન્ડિયા ગેમ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. શુટિંગમાં મન અને શ્વાસ પર નિયમન‎અને એકાગ્રતા મહત્વની‎ગોલ્ડ મેડાલીસ્ટ ધ્રુવી પંચાલના જણાવ્યા મુજબ રાઇફલ શૂટિંગ એ શરીરની સાથે સાથે મનની રમત છે, જેમાં સ્ટાન્સ લેવો, શ્વાસનું નિયમન અને ટ્રિગર દબાવવાની ટેક્નિકની સાથે મનને નિયંત્રિત કરવું પડે છે. ધ્રુવીએ મુશ્કેલીઓ વચ્ચે પણ સફળતાનું સચોટ નિશાન સાધ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:00 am

વડોદરા મામલતદાર કચેરી પાસેનો કટ બન્યો 'ડેથ ટ્રેપ':એક જ જગ્યા પર એક જ પેટર્નથી ત્રણ એક્સિડન્ટ, વાહનચાલકોની જીવલેણ ટક્કર CCTVમાં કેદ

અકસ્માત તો આપણે ઘણા જોયા હશે પરંતુ, એવી સ્થિતિ ભાગ્યે જ સર્જાઈ હશે કે, એક જ જગ્યા પર એક જ પેટર્નથી એક કરતા વધુ અકસ્માત સર્જાયા હોય અને તે તમામ અકસ્માત CCTVમાં કેદ થયા હોય. વડોદરાના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસે આ પ્રકારની આશ્ચર્યજનક અકસ્માતોની વણઝાર એક પછી એક ઘટી હતી. આ વિચિત્ર અકસ્માત અંગે ગતરોજ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્રણેય અકસ્માતના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. એક જ જગ્યાએ ત્રણ દિવસમાં ત્રણ અકસ્માતવડોદરા શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસે ચાર રસ્તા પર અકસ્માતોની સિલસિલો જાણે અટકવાનું નામ જ ન લે તે પ્રકારે એક બાદ એક ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત સામે આવ્યા છે. આ તમામ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાહતની વાત એ છે કે આ તમામ અકસ્માતમાં કોઈ વ્યક્તિનો જીવ નથી ગયો પણ આ અકસ્માતના ફૂટેજ જોઈ તમે પણ ચોંકી જશો. એક અકસ્માતમાં બાઈકનો ભુક્કો બોલાવે એવો વિચિત્ર અવાજ આવ્યોઆ ત્રણેય અકસ્માતમાં પહેલી ઘટના ગત 30 નવેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ બની છે, જેમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થાય છે જેમાં બંને વ્યક્તિના બાઇક ફંગોળાઈ બંને વ્યક્તિ નીચે પટકાતા નજરે પડે છે. આ બાદ તે જ સાંજે છ વાગ્યા બાદ એક સાથે ત્રણ બાઇકની એક સાથે ટક્કર થાય છે જેમાં જાણે બાઈકનો ભુક્કો બોલાવે એવો વિચિત્ર અવાજ આવે છે, જેમાં ચાર લોકોને ઇજાઓ પહોંચે છે. આ સાથે આ જ જગ્યા પર ગત રોજ એક એક્ટિવાચાલકને કાર ચાલક અડફેટે લે છે. આ તમામ અકસ્માત એક જ જગ્યાએ ત્રણ દિવસમાં સર્જાય છે. બાઈકચાલકે વાહન હંકારવામાં બેદરકારી દાખવતા ફરિયાદી ગંભીર ઈજાગ્રસ્તસમા વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરીની પાસે આવેલા કટ પર અકસ્માતનો ભોગ બનેલ બાઈક ચાલક નિતીન રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યા શખસે આ જગ્યા પર પોતાનું બાઇક બેદરકારીપૂર્વક હંકારી ફરિયાદીની બાઇક સાથે અથડાવી ફરિયાદીના પગના અંગૂઠામાં અને બે આંગળીઓમાં ફેક્ચર કરી સાથે જ પાછળ બેસેલ તેઓના મિત્ર ભરતસિંહ મહિડાને ચહેરાના ભાગે તથા નાકના ભાગે ફેક્ચર કરી આંખની કીકીમાં ક્રેક કરી ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ સમા પોલીસ મથકમાં નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:05 am

ડીસા-મહેસાણાના ગ્રેજ્યુએટો 800 કરોડના સાયબર ફ્રોડના માસ્ટરમાઈન્ડ:સેલેરીના અંસતોષથી ગેમિંગ ફંડ ટ્રાન્સફરના નેક્સસમાં જોડાયા, બેંગકોકના એક રૂમમાં બેસીને આખો દિવસ સાયબર ફ્રોડને અંજામ આપતા

ગુજરાતના બે ઉચ્ચ શિક્ષિત યુવાનો, BE મિકેનિકલ જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને B.COM દીપ ઠક્કર જેમને પોતાની લાયકાત મુજબ ઓછો પગાર મળવાનો અસંતોષ હતો, તેમણે વિદેશની ધરતી પર બેસીને 800 કરોડથી વધુના ટ્રાન્જેક્શન ધરાવતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનું સંચાલન કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત સાયબર ક્રાઇમ સેલે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર અને તેના સાથીદાર દીપ ઠક્કરની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આ યુવાનો બેંગકોક અને વિયેતનામ ખાતેથી લગભગ 50 જેટલી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવતા હતા, જેને મ્યુલ બેંક ખાતાઓ અને હવાલાના માધ્યમથી વિદેશ મોકલીને આખા નેક્સસને 'થ્રી-લેયર મોડ્યુલ' હેઠળ ઓપરેટ કરતા હતા. જેમાં જીતનારા લોકોને પણ છેતરપિંડીના પૈસામાંથી જ ચૂકવણી કરવામાં આવતી હતી. 149 બેંક ખાતાઓમાં કુલ 800 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શનો થયા હતાસાયબર ક્રાઇમ સેલ, સુરત શહેર દ્વારા કતારગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મોબાઇલ, લેપટોપ અને બેંકોની ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, આ આરોપીઓ પાસેથી મળી આવેલા જુદી જુદી બેંકોના 149 બેંક ખાતાઓમાં કુલ 800 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શનો થયા હતા. આ 149 ખાતાઓ પર NCCRP પોર્ટલ ઉપર કુલ 417 ફરિયાદો પણ મળી આવી હતી. DCP બિશાખા જૈન આ કેસમાં અન્ય બે નાસતા-ફરતા આરોપીઓ માટે એલ.ઓ.સી. ઇશ્યુ કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના આધારે જતીન અને દીપ ઠક્કરની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. 'પગાર ઓછો' મળવાની માનસિકતાએ સાયબર ફ્રોડના કાવતરા તરફ દોર્યાDCP બિશાખા જૈને જણાવ્યું હતું કે, જતીન ઠક્કર અગાઉ ગોવામાં એક ગેમિંગ વેબસાઇટ કંપનીમાં નોકરી કરતો હતો, જ્યાં તેને દર મહિને 35,000 પગાર મળતો હતો. ચાર મહિના કામ કર્યા બાદ તે પોતાના પગારથી સંતુષ્ટ નહોતો. આ દરમિયાન, તે ગોવાના કેસિનોમાં કાર્યરત માઇકલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો. માઇકલ થકી તેને જાણ થઈ કે બેંગકોકમાં આ પ્રકારના ગેમિંગ ફંડ ટ્રાન્સફરના નેક્સસ માટે સારી નોકરી મળી શકે છે. લાલચમાં આવીને જતીન બેંગકોક પહોંચ્યો, જ્યાં તેને શરૂઆતમાં 50,000 પ્રતિ માસનો પગાર આપવામાં આવ્યો, જે ટૂંક સમયમાં વધીને 1,00,000 પ્રતિ માસ થઈ ગયો. પોલીસ તપાસમાં 'જોન રેપર' અને 'પિકાસો ટાઈસન' જેવા કોડનેમ મળ્યાસાયબર ક્રાઈમની દુનિયામાં પોતાની અસલી ઓળખ છુપાવવી એ આરોપીઓની પ્રાથમિકતા હોય છે. સુરત પોલીસે જ્યારે અગાઉ કતારગામમાંથી આ રેકેટના સ્થાનિક ઓપરેટરો (બ્રાન્ચ વાળા)ને પકડ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ અને વ્હોટ્સએપ ચેટ્સમાંથી વિચિત્ર નામો મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન 'જોન રેપર' અને 'પિકાસો ટાઈસન' જેવા કોડનેમ મળ્યા હતા. શરૂઆતમાં પોલીસ માટે આ નામો એક કોયડો હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ ખુલ્યું હતું કે આ કોઈ વિદેશી નાગરિકો નથી પરંતુ આપણા જ ગુજરાતી યુવાનો છે. જેમાં 'જોન રેપર' એ બીજું કોઈ નહીં પણ માસ્ટરમાઈન્ડ જતીન ઠક્કરનું ડમી નામ હતું, જ્યારે 'પિકાસો ટાઈસન' એ દીપ ઠક્કરનું ડમી નામ હતું. આરોપીઓ 50 ગેમિંગ/બેટિંગ વેબસાઇટ પાસેથી ફંડ મેળવતાતેઓ વ્હોટ્સએપ ગ્રુપમાં અને કોમ્યુનિકેશન માટે માત્ર આ ડમી નામોનો જ ઉપયોગ કરતા હતા જેથી પોલીસ પકડથી દૂર રહી શકે. જતીનનું મુખ્ય કામ બેંગકોક તથા વિયેતનામ ખાતે રહીને BIG IDEA, OPS, DAFA, PARIMATCH, NETL, 10 C, HRB, VRB, DRB, ANNA, 777, TENGO, TRUE, 99, AIR, ORIENT, WIZ45 વગેરે જેવી લગભગ 50 ગેમિંગ/બેટિંગ વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવવાનું હતું. આ ફંડને એક પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું અને તેના હિસાબો રાખવાનું હતું. દીપકુમાર આ ટ્રાન્સફર માટે ડેટા એન્ટ્રીનું કામ સંભાળતો હતો. કૌભાંડનું 'થ્રી-લેયર મોડ્યુલ'ડીસીપી બિશાખા જૈન દ્વારા જણાવ્યા મુજબ, જતીન અને તેની ગેંગ આ સમગ્ર ફાઇનાન્સિયલ મોડ્યુલને ત્રણ લેયરમાં ઓપરેટ કરતી હતી, જે એક જટિલ સાયબર ફ્રોડનું માળખું દર્શાવે છે. જીતનારા લોકોને ફ્રોડના પૈસાથી ચૂકવણીબંને આરોપીઓનું ફાઇનાન્સિયલ મોડ્યુલ સંભાળવાનું કામ, ખાસ કરીને હવાલા દ્વારા પૈસા વિદેશ મોકલવાનું કામ, આ કૌભાંડને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવે છે. પોલીસ હવે આ નેક્સસમાં સામેલ અન્ય સભ્યો અને તેના વિદેશી કનેક્શનની વધુ તપાસ કરી રહી છે. આ રેકેટની બીજી એક રસપ્રદ અને ગંભીર બાબત એ સામે આવી છે કે, જે લોકો ગેમિંગ એપ્લિકેશનમાં જુગાર રમીને પૈસા જીતતા હતા, તેમને ચૂકવણી કરવા માટે પણ આરોપીઓ સાયબર ફ્રોડના જ પૈસા વાપરતા હતા. એટલે કે, એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરીને મેળવેલા પૈસા બીજી વ્યક્તિને ઈનામ સ્વરૂપે આપીને આખી સિસ્ટમ ચાલુ રાખવામાં આવતી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:05 am

યાત્રી કૃપયા ધ્યાન દે:બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેની નવી જાહેરાત

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસથી ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વ રહેશે અને તેમાં AC 3-ટિયર કોચ અવેલેબલ રહેશે. દર 15 દિવસે ચાલનારી આ ટ્રેનની કુલ 24 ફેરા રહેશે. બાંદ્રા ટર્મિનસથી ભુજ જતી ટ્રેન નંબર 09037 દર ગુરુવાર અને શનિવારે બપોરે 2:40 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 5:50 વાગ્યે ભુજ પહોંચશે. આ ફેરા 6 ડિસેમ્બર, 2025થી 15 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. તે જ રીતે ભુજથી બાંદ્રા ટર્મિનસ જતી ટ્રેન નંબર 09038 દર શુક્રવાર અને રવિવારે સાંજે 17.40 વાગ્યે નીકળશે અને બીજા દિવસે સવારે 8.30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ફેરા 7 ડિસેમ્બર, 2025થી 16 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. ટ્રેન બંને રૂટમાં બોરીવલી, વાપી, સુરત, ભરુચ, વડોદરા, આનંદ, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભચાઉ અને ગાંધીધામમાં રોકાણ કરશે. આ ટ્રેનોની બુકિંગ 4 ડિસેમ્બર, 2025થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 11:19 pm

જૈન દેરાસરની 75 હજારની દાનપેટી ચોરી:ડોક્ટરના ક્લિનિકમાં દર્દી બનીને આવેલા ગઠિયો 5 લાખ લઈને ફરાર

પાલડીમાં આવેલી ધનુષધારી સોસાયટીમાં રહેતા સુમિતીલાલ જૈન પાલડીના અશોકનગર બસ સ્ટેન્ડ સામે આવેલા શ્રી 1008 શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરમાં ત્રણ વર્ષથી અધ્યક્ષ છે. ગત તા. 2 ડિસેમ્બરના રોજ સવારે દેરાસરના પૂજારી મનીષભાઇ ઔદિચ્યએ દેરાસરના અધ્યક્ષ સુમિતીલાલને ફોન કરીને દેરાસરના ઉપરના માળે આવેલા મંદિરના દરવાજાનું તાળું તૂટ્યું હોવા અંગે જાણ કરી હતી. જેથી, સુમિતીલાલે ત્યાં તપાસ કરી તો મુખ્ય દરવાજાનું લોક તૂટેલી હાલતમાં હતું. મંદિરમાં રાખેલી જીવદયાની દાનપેટી ચોરી થયેલી હતી. દાનપેટીમાં આશરે 70થી 80 હજારની રકમ હતી. અધ્યક્ષ સુમિતીલાલે પૂજારીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે, આગલા દિવસે બપોરે તે દેરાસરને લોક મારીને નીકળી ગયા હતા. બીજા દિવસે સવારે દેરાસરમાં અન્ય દર્શનાર્થીઓ સાથે આવ્યા ત્યારે તાળું તુટેલું હતું. જેથી આ મામલે પોલીસને જાણ કરાતા પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દર્દી બનીને આવેલો ગઠિયો ડોક્ટરના પાંચ લાખ ચોરી ગયોઇન્કમટેક્સ પાસે આવેલા હરસિદ્ધ ચેમ્બર્સમાં હર્ષિતભાઇ આચાર્ય દવાખાનું ધરાવે છે. ગત તા. 30મીએ તેમના માતા-પિતા દવાખાને હાજર હતા. ત્યારે બે શખ્સો આવ્યા હતા અને એક શખ્સે દર્દી તરીકે રાજકુમાર શર્મા નામ જણાવીને ફાઇલ બનાવડાવી હતી. જે બાદ આ શખ્સ હર્ષિતભાઇના પિતા પાસે જઇને બેસી ગયો હતો. તેમણે પહેરેલી ઘડિયાળ વિશે વાત કરીને ઘડિયાળ કઢાવીને ટેબલ પર મૂકાવીને વાતોમાં ભોળવીને પાછળ પડેલા પાંચ લાખ ચોરીને તેના સાગરિતને આપીને બંને ફરાર થઇ ગયા હતા. આ મામલે વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 11:12 pm

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:ફાયરિંગ કેસમાં હથિયાર આપનાર MP થી ઝડપાયો, આરોપી રાજ્યનો મુખ્ય સપ્લાયર નિકળ્યો

રાજ્યભરમાં હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના સપ્લાયરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે. મંગળા રોડ પર સરાજાહેર ફાયરિંગના બનાવની તપાસ કરતા એસઓજી હથિયાર સપ્લાય નેટવર્કની મુખ્ય કડી સુધી પહોંચી હતી અને સપ્લાયરનું નામ ખુલતા જ એસઓજીની ટીમ એમપી ખાતે દોડી ગઈ હતી અને હથિયારના સપ્લાયરને ઉઠાવી રાજકોટ લાવવા તજવીજ હાથ ધરી હતી. ગત તા.29 ની રાતે જંગલેશ્વરમાં રહેતી કુખ્યાત રમા સંધીનો પતિ જાવીદ જુણેજાને ફેફસાની બીમારીથી પીડિત હોય જેથી તેમને મંગળા મેઈન રોડ પર આવેલ પ્રગતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.મોડી રાત્રીના 3 વાગ્યાની આસપાસ રમા સંધીની ત્રણ પુત્રી તેમના પુત્રો સાથે હોસ્પિટલ બહાર બેઠી હતી ત્યારે એક બાઈક અને એક કારમાં પેંડા ગેંગના મેટિયો ઝાલા, ભયલું ગઢવી સહિત ચાર શખ્સો ઘસી આવ્યાં હતાં અને ધડાધડ ફાયરીંગ કરી દિધું હતી. જ્યારે સામા પક્ષે પણ સંજય ઉર્ફે સંજલો અને સમીર ઉર્ફે મુર્ગો સહિતની ટોળકીએ ફાયરીંગ કર્યા હતા. જે મામલે પેંડા ગેંગના 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમીયાન પકડાયેલ હથિયારના સપ્લાયર રાજેશસિંગ ઉર્ફે રાજા વિરુદ્ધ રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહીત રાજ્યભરમાં હથિયારધારાના 12 ગુના નોંધાઈ ચુક્યાનું એસઓજીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત રાજા વિરુદ્ધ એમપીમાં પણ હથિયાર, મારામારી સહીતના 3 ગુના નોંધાઈ ચુક્યા છે. 13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં મોનાર ચીહલાને પાંચ વર્ષની સખત કેદ અને રૂપિયા 50 હજારનો દંડ 13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં મોનાર રાણાભાઇ ચીહલાને રાજકોટની કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે રૂ.50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. રાજકોટ એસ.ઓ.જી.ટીમને ખાનગી બાતમી મળી હતી કે તા.24/09/2023 ના એક શખ્સ બહારથી માદક પદાર્થ મંગાવી વેચાણ કરવા આવી રહ્યો છે જે શખ્સ 150 ફુટ રીંગ રોડ પર કારમાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે કારમાં આવી રહેલા મોનારને પકડી તેની પાસેથી 12.86 ગ્રામનો માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. જે અંગેનો કોર્ટ કેસ ચાલી જતા 16 દસ્તાવેજી પુરાવા તથા 6 સાહેદો તપાસ્યા બાદ આરોપીને કોર્ટે 5 વર્ષની સખત કેદ અને રૂ.50,000 ના દંડની સજા ફટકારી છે. મોર્નિંગ વોક કરતા વેપારીના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરતો કુખ્યાત ચોર ઝડપાયો રેસકોર્સ રિંગરોડ પર વોકિંગ કરવા નીકળેલા વેપારી યુવાનના ગળામાં ઝોંટ મારી રૂ.38 હજારનો પેન્ડલ સહિતનો સોનાનો ચેન આંચકી લીધો હતો. જે અંગે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી ચિલઝડપ કરનાર રીઢા ચોર મેહુલ ઉર્ફે ભુરીને ઝડપી લીધો હતો.રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે રહેતા પુનીતભાઇ દિપકભાઈ ગણાત્રા (ઉ.વ. 30) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. 7 માં ચિરાગ ટ્રેડિંગ નામની ઓફીસ છે. ગત તા. 29/11/2025 ના રોજ સવારના 7.30 વાગ્યા આસપાસ તેઓ ઘરેથી બાઇક લઈ રેસકોર્ષ રીંગરોડ ખાતે વોકિંગ કરવા માટે ગયા હતા. જે દરમિયાન 8.30 વાગ્યા આસપાસ એન.સી.સી ચોક તથા ઈન્કમટેક્ષ ઓફીસની વચ્ચે પહોંચતા પાછળથી એક બાઇક ચાલક આવ્યો હતો અને વેપારીના ગળામાં પહેરેલ સોનાનો ચેઈન આંચકી નાસી ગયો હતો. જેથી પ્રદ્યુમનનગર પોલીસે આ ઘટનામાં રીઢા ચોર મેહુલ ઉર્ફે ભુરી મામો ધનજી જેઠવા(ઉ.વ. 28 રહે. કૈલાશનગર શેરી નં. 2,નવલનગર-9ના છેડે, મવડી પ્લોટ) ને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે સોનાનો ચેન અને પેન્ડલ સોની વેપારીને વેચી દીધાનું જણાવતા પોલીસે સોની વેપારી પાસેથી સોનાનો ઢાળીયો કબજે કર્યો હતો. સોની વેપારીની ભૂમિકા અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. જો તેણે ખ્યાલ હોવા છતા ચોરીનો આ ચેઇન ખરીદ્યો હોવાનું સામે આવશે તો તેની સામે પણ ગુનો નોધવામાં આવશે. કુખ્યાત શખસ મેહુલ સામે શહેરના અગલ અલગ પોલીસ સ્ટેશનમાં ચિલઝડપ- ચોરી સહિતના 31 ગુના નોંધાઇ ચૂકયા હોવાનુ જાણવા મળ્યું છે. વિદેશી દારૂની 60 બોટલ સાથે વેપારી ઝડપાયો, જૂનાગઢના શખ્સ પાસેથી લાવ્યાની કબૂલાત કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાછળથી દારૂ ભરેલી કાર એલસીબી ઝોન-2 ટીમે ઝડપી પાડી હતી. દારૂ ભરેલી કાર સાથે ભૌમિક પારેખ નામના વેપારીની ધરપકડ કરી હતી. જયારે દારૂનો જૂનાગઢનો સપ્લાયર કલ્પેશ ઉર્ફે લાલાનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એલસીબી ઝોન-2ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ટીમને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, કાર નંબર જીજે-03-જેસી-8990 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે અને હાલ આ કાર કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ શિલ્પન બંગલોઝના ગેટ પાસે પાર્ક કરેલી છે. જે બાતમીના આધારે ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કારને કોર્ડન કરી ચેક કરતા તેમાંથી રૂ. 78 હજારની કિંમતની દારૂની 60 બોટલ મળી આવતા પોલીસે દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 4.03 લાખના મુદ્દામાલ સાથે કાર માલિક ભૌમિક યોગેશ પારેખ (ઉ.વ. 37 રહે. શિલ્પન બંગ્લોઝ નં.- 8, ક્રિસ્ટલ મોલ પાછળ, ઘનશ્યામનગર મેઇન રોડ, જ્યોતિનગર ચોક)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલ શખ્સે કેફિયત આપી હતી કે, તે દારૂનો જથ્થો જુનાગઢના કલ્પેશ ઉર્ફે લાલા પાસેથી લઈ આવ્યો હતો અને અહીં છૂટકમાં વેચાણ કરવાની ફિરાકમાં હતો. પરંતુ તે પૂર્વે જ પોલીસે તેને દબોચી લીધો હતો.ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ દારૂ સહિતના ત્રણ ગુના અગાઉ નોંધાય ચૂક્યા છે. પત્ની સાથે મૈત્રી કરારથી રહેલા આધેડને પતિ સહિત 4 શખ્સોએ માર માર્યો ગોવર્ધન ચોક પાસે સુખસાગર શેરીમાં રહેતાં અને ડ્રાઇવિંગનું કામ કરનાર મૈયાભાઈ પોપટભાઈ બોળીયા(ઉ.વ. 50) નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેવા ઓળકિયા, રાજુ ઓળકિયા અને અન્ય બે અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે રેવા ઓળકિયાના પત્ની ભીખુબેન સાથે પ્રેમ સંબંધ હોવાથી મૈત્રી કરાર કરી 10 દિવસ સાથે રહ્યા હતા. આ બાબતે રેવા ઓળકિયાએ ઝઘડો કરી મારકૂટ કરી હતી ત્યારે આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. સમાજના લોકોની સમજાવટથી ઘરમેળે સમાધાન કરી લીધું હતુ. જે દરમિયાન ગઈકાલે સાંજે 5.45 વાગ્યા આસપાસ આધેડ તેના મોટર સાઇકલ પર માલધારી ફાટકથી સાંઈબાબા સર્કલ પાસે ઉન્નતી એરિયા પાસે પહોંચતા રેવા ઓળકિયા, રાજુ ઓળકિયા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ રોકી અહીંયા કેમ રખડે છે? તેમ પૂછતા આધેડે જણાવ્યું કે, કામથી આવ્યો છું. ત્યારે ચારેય ગાળો આપતા હતા જોકે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈને રેવાએ લોખંડનો પાઈપ આધેડને ડાબા પગમાં માર્યો હતો. જ્યારે રાજુએ લાકડાના ધોકો જમણા પગમાં માર્યો હતો. તેમની સાથેના અજાણ્યા શખસોએ ઢીકાપાટુનો માર મારતા આધેડ બુમ પાડવા લાગતા ચારેય શખસો નાશી ગયા હતા. જે બાદ આધેડે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફોર્મરોમાંથી કોપર, એલ્યુમીનીયમના વાયરોની ચોરી કરતો શખ્સ ઝબ્બે સરધાર ગામ પાસે વાડી વિસ્તારમાં વીજ પોલમાં ટ્રાન્સફોર્મરોમાંથી કોપર તથા એલ્યુમીનીયમના વાયરોની ચોરી અંગેની ફરીયાદ આજીડેમ પોલીસમાં નોંધાઇ હતી. આ ગુનામાં બાતમીના આધારે કોપર વાયર ચોરીના ગુનામાં સામેલ વિજય ઉર્ફે ભગો વાલજી વાઘેલા (ઉ.વ.28) (રહે.ભાવનગર રોડ ખોડીયાર નગર અને હાલ હોસ્પિટલ ચોક બ્રીજ નીચે) ને ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં આરોપી રાજકોટ, ભાવનગર, ધોળકા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, શાપર-વેરાવળ સહિતના ગામ નજીક વાડી વિસ્તારમાં વીજ પોલમાંથી ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુનિયમના વાયર ચોરીના 13 ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:34 pm

ગોધરા નજીક ST બસમાં યુવતી સાથે છેડછાડ:કંડક્ટર સામે ફરિયાદ, હાલોલમાં પરિણીતાને સાસુ-પતિનો ત્રાસ

ગોધરા તાલુકાના કેવડિયા ગામ નજીક એક એસટી બસમાં યુવતી સાથે છેડછાડનો બનાવ બન્યો છે. આ મામલે યુવતીએ બસ કંડક્ટર વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, 2 ડિસેમ્બરના રોજ યુવતી ગીતામંદિર ડેપોથી પીટોલ બોર્ડર જતી બસમાં મુસાફરી કરી રહી હતી. ગોધરા સ્ટેશન બાદ મોટાભાગના મુસાફરો ઉતરી ગયા હતા. ત્યારબાદ કેવડિયા ગામ નજીક બસ કંડક્ટર યુવતીની બાજુની ખાલી સીટ પર આવીને બેસી ગયો હતો. યુવતીના આક્ષેપ અનુસાર, કંડક્ટરે અચાનક તેનો હાથ પકડીને પોતાના મોઢા તરફ ખેંચી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તરત જ તેનો હાથ છોડી વિરોધ કર્યો હતો. આ પછી કંડક્ટરે યુવતીનું સરનામું અને મોબાઇલ નંબર પૂછપરછ કરવાનું શરૂ કર્યું, જેનાથી યુવતી ભયભીત થઈ ગઈ હતી. બનાવ બાદ યુવતીએ તરત જ દાહોદ રહેતા પોતાના જીજાજીને ફોન અને વ્હોટ્સએપ મેસેજ કરીને જાણ કરી હતી. જીજાજીએ યુવતીને લાઇવ લોકેશન મોકલવાનું કહ્યું અને પોતાના મિત્રો સાથે દાહોદ નજીક બસ રોકાવાની જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે કંડક્ટરને ઠપકો આપ્યો હતો. પ્રારંભમાં યુવતી અને પરિવારજનો દાહોદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ બનાવ ગોધરા તાલુકા પોલીસ હદમાં આવતો હોવાથી તેઓને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. બાદમાં યુવતી, તેના જીજાજી અને માતા-પિતાએ હાજર રહી કંડક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. હાલોલમાં પરિણીતાએ સાસુ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીબીજા એક બનાવમાં, હાલોલ તાલુકાની તુલસીવિલા સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ સાસુ અને પતિ વિરુદ્ધ માનસિક તથા શારીરિક હેરાનગતિ અંગે ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 29 વર્ષીય પરિણીતાના લગ્ન એપ્રિલ 2024માં ભરતસિંહ દિલીપસિંહ સોલંકી સાથે થયા હતા. લગ્નના થોડા સમયમાં જ ઘરમાં કલેશ શરૂ થયો હતો. પરિણીતાનું કહેવું છે કે સાસુ પ્રેમીલાબેન ઘરકામ બાબતે સતત ટકોરો કરતા અને અપમાનજનક શબ્દોમાં સંસ્કાર પર સવાલ ઉઠાવતા હતા. સાસુ દ્વારા નોકરાણીની જેમ કામ કરવું પડશે જેવી વાતો કરવામાં આવતી હોવાથી પારિવારિક તણાવ વધતો ગયો હતો. પતિ ભરતસિંહનું વર્તન પણ ધીમે ધીમે આક્રમક બનતું ગયું હોવાનું પરિણીતાએ જણાવ્યું છે. પ્રેગ્નન્સી દરમિયાન પતિ દ્વારા ગર્ભ રાખવા મનાઈ કરાઈ હોવા છતાં પરિણીતાએ ગર્ભ રાખ્યો હતો, ત્યારબાદ પતિ અને સાસુ બંને તરફથી માનસિક ત્રાસ વધી ગયો હતો. પરિણીતાના આરોપ મુજબ, પતિએ અનેકવાર ગાળો, ધમકી તેમજ મારઝૂડ પણ કર્યો હતો. ગત 18 ડિસેમ્બર 2024ના રોજ જ્યારે પરિણીતાના ભાઈ-ભાભી તેમને સાસરીમાં મૂકવા ગયા, ત્યારે સાસુએ તેમને ઘરમાં પ્રવેશવા દીધા નહોતા અને અહીં રહેશે તો મારો છોકરો પાછો નહીં આવે તેવી ધમકી આપી હતી. બાદમાં 27 માર્ચ 2025ના રોજ પરિણીતાએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હોવા છતાં પતિ કે સાસુ હોસ્પિટલમાં જોવા પણ આવ્યા નહોતા. સમાજજનોએ આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો છતાં સાસરિયાવાળા કોઈ વાતચીત માટે તૈયાર ન થતા, આ ઘટનાઓ બાદ પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:17 pm

ડાંગ જિલ્લામાં પ્રાઇવેટ ડોકટરોનો પરિસંવાદ:આરોગ્ય વિભાગનું આયોજન આરોગ્ય સેવાઓને વધુ સુદ્ઢ બનાવવા સંકલ્પ

ડાંગ જિલ્લામાં જાહેર આરોગ્ય તંત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંકલન મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો હતો. આહવા સ્થિત જિલ્લા પંચાયતના સભાખંડમાં આયોજિત આ કાર્યક્રમમાં 42 થી વધુ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીતના માર્ગદર્શન હેઠળ આ પરિસંવાદ યોજાયો હતો. પરિસંવાદ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આમાં માતૃ-બાળ કલ્યાણ, રાષ્ટ્રીય રસીકરણ, કુટુંબ કલ્યાણ યોજના, ટી.બી. નિયંત્રણ, સંકલિત રોગ સર્વેલન્સ, વેક્ટરજન્ય રોગ નિયંત્રણ, બિનચેપી રોગો, માનસિક આરોગ્ય, ઈ.એન.ટી., કુપોષણ અને એન.આર.સી./સી.એમ.સી. સંબંધિત કામગીરી તથા લક્ષ્યાંકોનો સમાવેશ થાય છે. ડોકટરોને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ અધિનિયમ-2010ની કાયદાકીય જોગવાઈઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લામાં માતા-બાળ મૃત્યુદર ઘટાડવા, સગર્ભા માતાઓની વહેલી નોંધણી, અતિજોખમી કેસોની ઓળખ, કટોકટીની ગાયનેક સારવાર માટે સમયસર રેફરલ, સંસ્થાકીય પ્રસૂતિમાં વધારો, ટીનએજ ગર્ભાવસ્થા નિયંત્રણ, ઓછા વજનવાળા અને ગંભીર રીતે બીમાર શિશુઓની વિશેષ સારવાર, તેમજ કુપોષિત બાળકોને એન.આર.સી./સી.એમ.ટી.સી.માં દાખલ કરવા જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે ખાનગી ડોકટરોને જિલ્લામાં ઉદ્ભવતા પડકારજનક પરિબળોથી અવગત કર્યા હતા. તેમને પરસ્પર સહયોગ દ્વારા જનસમુદાયને વધુ અસરકારક, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા અપીલ કરવામાં આવી હતી. આ પરિસંવાદમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. બિનેશ ગામીત, આહવા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મીતેશ કુનબી, ડો. ભાવિન પટેલ અને જિલ્લા રોગચાળા અધિકારી ડો. નિલકેતુ પટેલ સહિત અન્ય ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:10 pm

NID અમદાવાદના 22 વર્ષીય વિદ્યાર્થીએ સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું:પોલીસ-આર્મીના જવાનોને મદદરૂપ થવા ડ્રોન તૈયાર, સર્વેલન્સ-ક્વિક રિસ્પોન્સ માટે કામ લાગશે

NID અમદાવાદમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થીએ સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. વિદ્યાર્થીઓના ટેક્ટિકલ કોમ્યુનિકેશન પ્રોજેક્ટના ભાગ રૂપે NID અમદાવાદના વિદ્યાર્થીએ STRIX નામનું સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. STRIX એ ભારતમાં ઝડપી પ્રતિભાવ પોલીસ અને આંતરિક સુરક્ષા કામગીરી માટે રચાયેલ ક્ષેત્ર-ઓપ્ટિમાઇઝ્ડ સર્વેલન્સ ડ્રોન છે. અત્યારે જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે તે ચાઇના કંપનીના હોવાથી ડેટા લીક થવાનો ડર હોય છે. જેથી NID અમદાવાદના વિદ્યાર્થીએ સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે. જે દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ અને આર્મી માટે મદદરૂપ થઈ શકે છે. સ્વદેશી ડ્રોનની ડિઝાઇન મંજૂર થઈ ગઈ છે. હવે ફંડ મળ્યા બાદ પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. દેશની આંતરિક સુરક્ષા માટે નાની સાઇઝમાં ડ્રોન ડિઝાઇન કરાયુંપોલીસ માટે સર્વેલન્સ ડ્રોન ઈન્ડિયામાં માત્ર એક જ કંપની બનાવે છે. તેની સાઇઝ પણ મોટી હોવાથી ઓછામાં ઓછા બેથી ત્રણ લોકોની ડ્રોનનો ઉપયોગ કરવા માટે મદદ લેવી પડતી હોય છે. જેથી આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને NID અમદાવાદના વિદ્યાર્થીએ ડ્રોન ડિઝાઇન કર્યું છે. દેશની આંતરિક સુરક્ષા માટે નાનો ડ્રોન ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે ડ્રોનનો એક જ વ્યક્તિ હોય તો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. તેમજ બેગમાં લઈને પણ તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ચાઈનીઝ બ્રાન્ડના ઉપયોગથી ડેટા લીક થવાનો ડરઅત્યારે મોટા ભાગના ડ્રોન ચાઇનીઝ કંપની બનાવી રહી છે. જેથી ચાઈનીઝ બ્રાન્ડનો ઉપયોગ કરવામાં આવી ડેટા લીક થવાનો ડર પણ રહેતો હોય છે. જેથી NIDના વિદ્યાર્થી મોનીશે તેનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. તમામ સ્વદેશી પાર્ટ બનાવીને ડ્રોન તૈયાર કરવામાં આવ્યો છે. જેથી ડેટ લોક થવાનો પણ કોઈપણ પ્રકારનો ડર ન રહે. સ્વદેશી ડ્રોન હોવાથી અત્યારે ડિઝાઇનની તમામ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. નાના ડ્રોન કોઈ સ્વદેશી કંપની બનાવતી નથીદિવ્ય ભાસ્કરની સાથેની વાતચીતમાં મોનીશ બફાનાએ જણાવ્યું હતું કે, ISR ડ્રોન ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ડ્રોન દેશની આંતરિક સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. અત્યારે પોલીસ જે ડ્રોનનો ઉપયોગ કરે છે તે ચાઈનીઝ બ્રાન્ડના છે. તે ઇન્ડિયા બહાર બને છે કારણ કે નાના ડ્રોન બનાવતી બીજી કોઈ સારી કંપની નથી. મોટા ડ્રોન ઘણી બધી કંપની બનાવી રહી છે, પરંતુ નાના ડ્રોન કોઈ સ્વદેશી કંપની બનાવતી નથી. ચાઇનીઝ ડ્રોનનો કોઈ પાર્ટ ખરાબ થાય તો તેને કંપનીમાં મોકલવામાં આવે છે. જે બાદ કંપનીના તે બે ત્રણ મહિના પછી રિપેર કરીને પરત મોકલી આપે છે. આ ડ્રોન એક જ વ્યક્તિ બેગમાં રાખીને લઈ જઈ શકે છે અત્યારે ઉપયોગમાં આવતા ડ્રોનને લઈને મોનીશ બફાનાએ જણાવ્યું હતું કે, ડ્રોન ચાઇનીઝ કંપની બનાવતી હોવાથી કોઈ સિક્રેટ મિશન માટે ઉપયોગ કરવામાં આવે તો તેનો ડેટા ચાઇનીઝ સુધી પહોંચી જાય છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ચાઈનીઝ પ્રોડક્ટ ઉપયોગ કરીએ તો તેનો ડેટા ચાઇનીઝ જોડે પહોંચી જાય છે. જેથી આ ડ્રોનને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જો કોઈ પાર્ટ ખરાબ થાય તો તેને નીકાળી નવો પાર્ટ લગાવી શકાય છે. પોલીસ ફોર્સ માટે ઈન્ડિયામાં એક જ કંપની છે જે સર્વેલન્સ ડ્રોન બનાવે છે. જેના ડ્રોન એટલા મોટા હોય છે કે ઓછામાં ઓછા બે વ્યક્તિની જરૂર પડતી હોય છે. આ ડ્રોન એક જ વ્યક્તિ બેગમાં રાખીને લઈ જઈ શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. આ ડ્રોનમાં અલગ અલગ કેમેરા અને સેન્સર લગાવી શકાય છે. જે પ્રકારની પરિસ્થિતિ હોય છે તેના આધારે ડ્રોન સેટ કરી શકાય છે. આ ડ્રોન 120 મીટર સુધીની ઊંચાઈ પર જઈ શકે છેવધુમાં મોનીશે જણાવ્યું હતું કે, દેશની આંતરિક સુરક્ષા માટે સ્વદેશી અને નાનો ડ્રોન કોઈ બનાવતું નહોતું. જેથી અમે તમામ પાર્ટ સ્વદેશી બનાવીને ડ્રોન તૈયાર કર્યું છે. અત્યારે પહેલો ફેઝ પૂર્ણ થઈ ગયો છે હવે બીજા ફેઝ માટે મૂકવામાં આવ્યો છે. DRDOને ડ્રોન બનાવ્યો તો તેમણે પણ મારો ડ્રોન પસંદ આવ્યો હતો. પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આર્મી STRIX ડ્રોનનો ઉપયોગ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવ્યો છે. જે 120 મીટર સુધીની ઊંચાઈ પર જઈ શકે છે. રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુસરકારમાં અત્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આર્મીમાં પણ અત્યારે કોઈ નાના ડ્રોન નથી જેથી સર્વેલન્સ અને ક્વિક રિસ્પોન્સને ધ્યાનમાં રાખીને આ ડ્રોન ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે. કેટલીક ખામીઓ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. જે બાદ એપ્રિવલ મળ્યા બાદ તમામ પોલીસ ફોર્સ સુધી ડ્રોન પહોંચી જશે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:04 pm

4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા:જૂનાગઢમાં 'ગુજસીટોક' હેઠળ 4 આરોપીઓ વોન્ટેડ, કુલ 31 ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓના પોસ્ટર શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાગ્યા

ગુજરાતમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાનું શાસન સ્થાપિત કરવાના નિર્ધાર સાથે, જૂનાગઢ પોલીસે સંગઠિત ગુનાખોરી સામેનું અત્યંત આક્રમક પગલું ભર્યું છે.ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (G.C.T.O.C. - ગુજસીટોક) એક્ટ-૨૦15 હેઠળ જૂનાગઢના ચાર ખતરનાક આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને, તેમની ધરપકડ માટેની ઝુંબેશ તેજ કરી છે.આ આરોપીઓ અગાઉ કુલ 31 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે, જે તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની ભયાનકતા દર્શાવે છે.કાયદાના આ કડક અમલથી સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો સામે પોલીસની સજ્જતા પુરવાર થઈ છે, જે નાગરિકોની સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. ગુજસીટોકનો સકંજો: સંગઠિત ગુનાખોરી પર પ્રહાર ​નાયબ પોલીસ અધિક્ષક કચેરી જૂનાગઢ ગ્રામ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલી વિગતો અનુસાર, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ આ ગુનાહિત ટોળકી વિરુદ્ધ ગુજસીટોક એક્ટની જુદી જુદી હેઠળ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગુજસીટોક કાયદો એવા ગુનેગારો વિરુદ્ધ લાગુ કરવામાં આવે છે, જેઓ એક ટોળકી બનાવીને સંગઠિત રીતે અપરાધ આચરતા હોય છે.આ કાયદા હેઠળ કાર્યવાહી કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો છે. ​ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું કે,આ ચારેય આરોપીઓ ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઈ બઢ, દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણા, નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ, અને જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ પર ગુનો દાખલ થયા બાદથી જ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેમના રહેઠાણ, છુપાવાના આશ્રય સ્થાનો તેમજ ઉઠક-બેઠકના સ્થળો પર સઘન તપાસ કરી હોવા છતાં, આ આરોપીઓ જાણી જોઈને અને ઇરાદાપૂર્વક પોતાની ધરપકડ ટાળીને નાસતા ફરી રહ્યા છે. ​નાસતા ફરતા ગુનેગારો: કાયદાકીય કાર્યવાહી ​સંગઠિત ગુના આચરતી આ ટોળકી વિરુદ્ધ કાયદાકીય સકંજો વધુ કડક બનાવવા માટે, પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. નામદાર સ્પેશ્યલ જજ/પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, સ્પેશ્યલ ગુજસીટોક/સેશન્સ કોર્ટ, રાજકોટ કોર્ટમાંથી B.N.S.S. કલમ-72 મુજબનું બિનમુદતી વોરંટ કઢાવવામાં આવેલું છે.આનો અર્થ એ છે કે જ્યાં સુધી આ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી આ વોરંટ અમલમાં રહેશે. ​આ ચારેય આરોપીઓ એક જ ગુનાહિત ટોળકીના સભ્યો છે. પોલીસના સત્તાવાર દસ્તાવેજો મુજબ, તેમના વિરુદ્ધ અગાઉ કુલ 31 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ટોળકીની ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ ઘણું ગંભીર અને વ્યાપક છે. આવા ગુનેગારોને પકડવા એ જૂનાગઢ જિલ્લાની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટેની પ્રાથમિકતા છે.​માહિતી આપનારને ઇનામ અને ગુપ્તતાની ખાતરી ​આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં જૂનાગઢ પોલીસે સામાન્ય જનતાને પણ સહકાર આપવા માટે ખાસ અપીલ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે આ આરોપીઓની સચોટ માહિતી આપનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેથી માહિતી આપનારની સલામતી જળવાઈ રહે.સરકારના ધારાધોરણ મુજબ માહિતી આપનારને ઇનામ પણ આપવામાં આવશે.પોલીસે અપીલ કરી છે કે જો આ આરોપીઓ પૈકી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કે કોઈ સ્થાને જોવામાં આવે, તો તાત્કાલિક ગ્રામ્ય ડીવાયએસપી રવિરાજસિંહ પરમારનો પર સંપર્ક કરવો

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 10:00 pm

સોમનાથ યાત્રાધામમાં ફૂડ વિભાગનું અચાનક ચેકિંગ:યાત્રાળુઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે કાર્યવાહી

ગીર સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના યાત્રાધામમાં ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધર્યું છે. રાજ્ય સરકારની સૂચના બાદ યાત્રાળુઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે સુનિશ્ચિત કરવા આ અભિયાન શરૂ કરાયું છે. સોમનાથ મંદિર નજીકની હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલમાં ટીમોએ તપાસ કરતા વેપારીઓમાં હલચલ મચી ગઈ હતી. અધિકારીઓએ વિવિધ ખાદ્ય એકમોમાંથી કાચા માલથી લઈને તૈયાર ખોરાક સુધીના નમૂના લીધા હતા. આ નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ટીમો દ્વારા સ્વચ્છતા, હાઈજીન અને ફૂડ સલામતીના ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ રાજ્યભરના તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ એકસાથે સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન શરૂ થયું છે. જિલ્લા કલેક્ટરો અને મહાનગરપાલિકાના કમિશનરોને યાત્રાધામોની આસપાસ વેચાતી દરેક ખાદ્ય વસ્તુની ગુણવત્તા તપાસવા તાકીદના આદેશ અપાયા છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા છે કે સોમનાથ સહિતના મુખ્ય યાત્રાધામોમાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને શુદ્ધ, સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ થાય. આ અભિયાનથી ખાદ્ય સેવા આપતા વેપારીઓમાં પણ સતર્કતા વધશે અને યાત્રાળુઓને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ મળશે તેવી અપેક્ષા છે. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાઓના લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. સોમનાથ યાત્રાધામમાં શરૂ કરાયેલું આ ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં વધુ વ્યાપક બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:57 pm

હિંમતનગરમાં મતદારયાદી સુધારણા બેઠક યોજાઈ:જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા

સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લામાં પૂર્ણ થયેલી અને બાકી રહેલી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા હાઉસ-ટુ-હાઉસ મુલાકાત દરમિયાન જે મતદારોના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેમને સમજાવીને ફોર્મ જમા કરાવવા અનુરોધ કરાયો હતો. વધુમાં, પક્ષ તરફથી નિમણૂક પામેલા BLOને મતદારોને EF ફોર્મ (ગણતરી ફોર્મ) ભરવામાં, 2002ની યાદીમાં તેમના નામ શોધવામાં અને વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ તેમજ અન્ય સંવેદનશીલ જૂથના મતદારોને મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને જે મતદારોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય, તેમને સહાય પૂરી પાડવા જણાવાયું હતું. આગામી તા. 16 ડિસેમ્બર, 2025 (મંગળવાર)ના રોજ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ થનાર છે. આ પ્રિ-ડ્રાફ્ટ રોલ માટે BLO દ્વારા સંબંધિત રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ (BLA) સાથે યોજાનારી બેઠકોમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈ પાત્ર નાગરિક બાકાત ન રહે અને કોઈ અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય તે રીતે ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોનો સાથ-સહકાર માંગવામાં આવ્યો હતો. કાર્યક્રમની સુધારેલી સમયસૂચિ પણ રજૂ કરવામાં આવી હતી:

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:49 pm

અકસ્માત કેસમાં આરોપી ડ્રાઈવરને 9 વર્ષ બાદ છ મહિનાની સજા:લક્ઝરી બસની અડફેટે શાળાએ જતાં 15 વર્ષના વિદ્યાર્થીના મોત કેસમાં કોર્ટનો ચુકાદો

વર્ષ 2015માં સુરતના પાલનપુર પાટિયા ખાતે એક લક્ઝરી બસની અડફેટે શાળાએ જઈ રહેલા 15 વર્ષના કિશોર વિદ્યાર્થીના મૃત્યુના કેસમાં કોર્ટે નવ વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ડ્રાઇવરને કસૂરવાર ઠેરવીને 6 મહિનાની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, માત્ર પીડિતની ઉંમર 15 વર્ષ હતી એ હકીકત આરોપીને બચાવ માટે માન્ય નથી. સ્કૂલે જતા વિદ્યાર્થીને બસ ચાલકે પાછળથી ટક્કર મારી હતીકેસની વિગતો મુજબ, આ ઘટના તા. 18મી જૂન, 2015ના રોજ સવારે સવા સાત કલાકે બની હતી. મૃતક કિશોર પોતાના સાથી વિદ્યાર્થી સાથે બાઇક પર શાળાએ જઈ રહ્યો હતો, ત્યારે પાલનપુર પાટિયા ખાતે લક્ઝરી બસના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં કિશોરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તેના સાથી વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ પોલીસે આરોપી ડ્રાઇવર હેમંત તુલસીરામ પટેલની ધરપકડ કરી હતી અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનું મોત આરોપીની ગફલતભરી ડ્રાઇવિંગનું પરિણામઆ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, અકસ્માતની રીતરસમ પરથી સ્પષ્ટ થાય છે કે આ મૃત્યુ આરોપીની ગફલતભરી ડ્રાઇવિંગનું સીધું પરિણામ છે. કોર્ટે નોંધ્યું કે જો અકસ્માતની કડી, સમય, વાહન તથા આરોપીની વચ્ચે સઘન અને અવિચ્છિન્ન સાંકળ ઊભી થતી હોય, તો આરોપી વિરુદ્ધ ફોજદારી ગુનાના તત્વો સંપૂર્ણપણે પૂરતા પ્રમાણમાં સ્થાપિત થાય છે. આથી, આઈપીસી કલમ 304એ -બેદરકારીથી મૃત્યુ નિપજાવવાની કાનૂની આવશ્યકતાઓ પૂર્ણ થાય છે. વધુમાં, બસની ઝડપ, અસરની તીવ્રતા, માર્ગની સ્થિતિ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયેલું હોવાના પુરાવા પરથી મોટર વાહન અધિનિયમની કલમ 177 તથા 184 હેઠળનું 'ડેન્જરસ ડ્રાઇવિંગ' અને ટ્રાફિક નિયમોના ભંગનું ગુનાહિત કૃત્ય પણ પુરવાર બને છે. કોર્ટે આરોપી ડ્રાઈવરને કસૂરવાર ઠેરવી 6 મહિનાની સજાનો હુકમ કર્યોકોર્ટે પોતાના ચુકાદામાં એક મહત્વની વાત નોંધી કે, પીડિત 15 વર્ષનો હતો, એ હકીકત માત્ર આરોપી માટે બચાવ રૂપે માન્ય નથી. કોર્ટે સજા સંભળાવતી વખતે કહ્યું કે, આપણે ગુનેગારોને મારી નાંખવાના હોતા નથી, પરંતુ તેમની દરકાર કરવી જોઈએ કે જેથી તે ભવિષ્યમાં કોઈ ગુનો ન કરે અને વ્યવસ્થિત નાગરિક બની શકે. તમામ પુરાવાઓ અને સંજોગોને ધ્યાનમાં રાખીને, કોર્ટે આરોપી ડ્રાઇવર હેમંત પટેલને કસૂરવાર ઠેરવી 6 મહિનાની સજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદો દર્શાવે છે કે અકસ્માતના ગંભીર કેસોમાં કોર્ટ આરોપીની બેદરકારીને હળવાશથી લેતી નથી.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:48 pm

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા:રિલાયન્સ સિક્યુરિટીના નામે નકલી ટ્રેડિંગ એપ બનાવી, ઓસવાલ પંપમાં રોકાણનું કહી ફરિયાદી પાસે 83.50 લાખ પડાવ્યા

અમદાવાદ સાઇબર ક્રાઈમ પોલીસ મથકે ચાલુ વર્ષે એક ફરિયાદ નોધાઇ હતી. જેમાં ભાવનગર અને અમરેલીના બે આરોપી આનંદ જોશેતા અને દીપક ગોહિલની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં 12 દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઓસવાલ પંપના શેરોમાં 83.50 લાખનું રોકાણ કરાવ્યું હતું આ કેસની વિગતો જોતા આરોપીઓએ ફેસબુક ઉપર રિલાયન્સ સિક્યુરિટી નામની જાહેરાત મૂકી હતી. જેના થકી તે ફરિયાદીને વોટ્સેપ ગ્રુપમાં એડ કર્યો હતો અને તેમની સાથે વોટ્સેપ ચેટ અને વોટ્સેપ કોલિંગ દ્વારા અલગ અલગ શેરમાં રોકાણ કરવા અને રોજના 05 ટકાથી 30 ટકાના પ્રોફિટની લાલચ આપી હતી. તેઓએ SEBI ના લેટરપેડ ઉપર અલગ અલગ બેંક ખાતાની વિગતો મોકલી હતી. ઓસવાલ પંપમાં શેરોમાં 83.50 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીઓએ જુદા જુદા શેરોમાં 3.75 કરોડ ભરવા જણાવ્યું હતુંવળી એપમાં શેરમાં રોકાણ પણ બતાવતું હતું. આરોપીઓએ ફરિયાદીને જુદા જુદા શેરોમાં રોકાણ માટે 3.75 કરોડ રૂપિયા ભરવા જણાવ્યું હતું, પણ તે ફરિયાદી પાસે નહીં હોવાથી તેમને ભરેલા પૈસા ઉપાડવા માટે જણાવ્યું હતું. જો કે આરોપીઓ જણાવ્યું હતું કે બ્રોકરેજ જ નહીં આપો તો પૈસા ઉપાડી શકાશે નહીં.આમ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણીને ફરિયાદીએ ફરિયાદ લખાવી હતી. આરોપીઓ ભેગા મળી કેટલા એકાઉન્ટ ખોલાવ્યા છેઅમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં બંને આરોપીઓના રિમાન્ડ માંગતા સરકારી વકીલ એમ.એસ. શેખે રજૂઆત કરી હતી કે, આરોપીઓના બેંક એકાઉન્ટ, મોબાઈલ અને ગુનામાં વપરાયેલા સીમકાર્ડની વિગતો જાણવાની છે. સહ આરોપીઓ અંગે માહિતી મેળવવાની છે. આરોપીઓ ભેગા મળી કેટલા એકાઉન્ટ ખોલાવ્યા છે, કેટલા નાણા ઉપાડ્યા છે, કેટલાનો આંગડિયા પેઢી મારફતે વહીવટ કર્યો છે, તેની તપાસ કરવાની છે. સાયબર ક્રાઈમના ગુનેગારે 5 થી 6 કરોડ રૂપિયા ઉપાડ્યાઆરોપીઓ પૈકી આનંદ જોશેતા સાયબર ક્રાઇમનો રીઢો ગુનેગાર છે. જેને જુદા જુદા બેંક ખાતામાંથી આશરે 5 થી 6 કરોડ રૂપિયા ઉપાડ્યા છે, તેની તપાસ કરવાની છે. આરોપીઓ કોના નામે બેન્ક એકાઉન્ટ ખોલતા હતા, કોને કેટલા નાણા આપતા હતા તે જાણવાનું છે. આરોપીઓ પાસેથી મળેલા કોરા ચેકની તપાસ કરવાની છે. તેમના મોબાઈલ અને સીમકાર્ડની ટેકનિકલ તપાસ કરવાની છે. આ કેસમાં મૂળ સુધી પહોંચવા આરોપીઓની પોલીસ કસ્ટડીની જરૂર છે. SEBI નો નકલી લેટરપેડ કોણે તૈયાર કર્યો ? ક્યાં તૈયાર કર્યો તે જાણવાનું છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:34 pm

દિનદહાડે લૂંટ કરતી ત્રિપુટી ઝડપાઈ:રાજકોટના લીમડા ચોક પાસે બેંકમાંથી નીકળતા ચાંદીના વેપારીને છરી બતાવી રૂ.2.50 લાખ લૂંટી લીધા

રાજકોટના લીમડા ચોક સહિતના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સ્થાનીક પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી હતી. 25 વર્ષીય ચાંદીનો વેપારી ઉજ્જવલ બેંકમાંથી રોકડ ઉપાડી બહાર આવતાં જ મહિલા સહિત ત્રિપુટી ત્રાટકી હતી અને છરીની અણીએ રૂ.2.50 લાખની લૂંટ ચલાવી નાસી છૂટતાં ચકચાર મચી ગઇ હતી. જોકે એ ડિવિઝન પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા જ એલસીબી ઝોન-2 ની ટીમે એક મહિલા સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી અઢી લાખની રોકડ, કાર મળી 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે રાજકોટના મોચીનગર શેરી નં.6 માં રહેતાં શીફાનભાઈ અર્શાદભાઈ પરમાર (ઉં.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહિલા સહિત 3 અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝન પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ હોલસેલ ચાંદીનો વેપાર કરે છે. ધંધામાં ભાગીદાર તરીકે હેતભાઇ વિપુલભાઇ પંચમીયા છે. ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ તે તેના ભાગીદાર હેતભાઇ સાથે લિમડા ચોક પાસે, ધીરજ સ્ટોરની બાજુમા આવેલ ઉજજીવન બેંકમા ધંધાના રૂપીયા ઉપાડવા માટે ગયેલ હતાં. તેમનો ભાગીદાર હેતભાઈ બેંકની બહાર ઉભો હતો. યુવાને પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂ.2.50 લાખ ઉપાડેલ અને તે રૂપીયા તેમના ટયુશન બેગમાં રાખેલ હતા. જે બાદ તે બેંકમાથી બહાર આવતો હતો ત્યારે એક અજાણી મહિલા પણ તેમની સાથે બહાર આવેલ અને બહાર પહોંચેલ તો ભાગીદાર હેતને જોયો નહી.જે દરમિયાન સામેથી 2 અજાણ્યા શખ્સો તેમની પાસે આવી નામ અને સરનામું પૂછી તથા તારા બેગમા શું છે તેમ પુછવા લાગ્યા હતા પરંતુ યુવાન તેમને ઓળખતો ન હોય તેથી તમે કોણ છો તેવુ પૂછ્યું હતુ. જોકે આ અજાણ્યા 2 શખ્સોમાંથી એક શખ્સે તેના કમરના ભાગે રાખેલ છરી બતાવી અને કહ્યુ હતુ કે, આ બેગ અમને આપી દે નહીતર અમે તને મારી નાખશું.આ દરમિયાન તેની પાછળ જે મહિલા બેંકમાથી બહાર આવી હતી. તેણે યુવાનનું બેગ ખેંચીને જતી રહી હતી. બે શખ્સોમાંથી એક શખ્સ ત્યા પડેલ વ્હાઇટ સ્કુટર લઈને જતો રહ્યો હતો અને અન્ય શખ્સ પણ તેની પાછળ દોડીને જતો રહ્યો હતો. જે બાદ થોડી જ વારમા ભાગીદાર હેતભાઇ પાર્કીંગ તરફથી તેની પાસે આવ્યા અને બેંકમાથી ઉપાડેલ રૂ.2.50 લાખ બાબતે પુછતા યુવાને તેની સાથે બનેલ બનાવની વાત કરી હતી. તે વખતે હેતે કહ્યુ કે, તુ જયારે બેંકમા ગયો ત્યારે હુ કોમ્પલેક્ષના પાર્કીંગમા હતો ત્યારે મારી પાસે એક અજાણ્યો શખ્સ આવ્યો અને મને તારા વિષે વાત કરી કહેલ કે, તારો જે મિત્ર બેંકમા ગયો છે તેને બોલાવ નહીતર હુ તને મારીશ. થોડીવાર પછી આ શખ્સ ત્યાથી જતો રહેલ હતો. જે વાતથી બંને ભયભીત થતા પોતપોતાના ઘરે જતાં રહ્યા હતા અને બાદમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ સ્થાનિક પોલીસ તપાસ કરે તે પહેલાં જ એલસીબી ઝોન-2 ટીમે ત્રણેય શખ્સોને પકડી પાડ્યા હતા. જે ખ્યાતીબેન પ્રફુલભાઇ ઠાકર (ઉ.વ.29, રહે. હુડકો ચોકડી ફાયર બ્રીગેડ પાસે, રાજકોટ), યશ ચંદ્રમોહનભાઇ ભારદ્વાજ (ઉ.વ.24, રહે. હુડકો ક્વાટર, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ) અને ભાવીનભાઇ મહેશભાઇ રાયઠઠા (ઉ.વ.36, રહે. વિરાણી ચોક પ્રેમ એપાર્ટમેન્ટ, રાજકોટ) ને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી રૂ.2.50 લાખની રોકડ, રૂ.1 લાખની કાર અને ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી છરી કબજે કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2025 9:23 pm