SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

ભમરા કરડ્યા:અડાલજ કેનાલ પાસે ભમરા ઉડ્યા, ઇંંટના ભઠ્ઠા પર કામ કરતા એક મજૂરને કરડ્યા

અડાલજ કેનાલ પાસેના ઇંટવાડા ભઠ્ઠાની આસપાસના વિસ્તારમાં ભમરા ઉડતા મજુરી કામ કરતો યુવાનને કરડ્યા હતા. યુવાનના આખા શરીરે ભમરા કરડતા યુવાન મજુર બેભાન થઇને ઢળી પડ્યો હતો. ત્યારે સ્થાનિક અન્ય મજુરોએ ઇમરજન્સી સેવા 108માં ફોન કરતા ચાંદખેડાની એમ્બ્યુલન્સ આવતા બેભાન યુવાનને પ્રાથમિક સારવાર કરતા ભાનમાં આવતા વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ઇમરજન્સી આરોગ્ય સેવાનો લાભ ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સના મારફતે લોકોને મળી રહ્યો છે. ત્યારે એનીટાઇમ દોડી આવતી ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સથી ભોગ બનનારને નિદાન અને સારવાર મળી રહે છે. ત્યારે અડાલજ નર્મદા કેનાલની પાસે આવેલા ઇંટવાડાના ભઠ્ઠામાં મજુરી કામ કરતા યુવાનને ભમરા કરડ્યા હતા. આ અંગે ચાંદખેડાના ઇમરજન્સી સેવા 108ના સુપરવાઇઝર મીલન જોષીને પુછતાં જણાવ્યું છે કે અડાલજ નર્મદા કેનાલની પાસે આવેલા ઇંટવાડા ભઠ્ઠાની આસપાસના વિસ્તારમાં બેસેલું ભમરીયું મધ ઉઠ્યું હતું. ભમરા ઉડતા ઇંટવાડામાં મજુરી કામ કરતો યુવાન દોડીને જાય તે પહેલાં ભમરાએ તેની ઉપર હુમલો કરતા આખા શરીરે સેંકડો ડંખ મારતા યુવાન મજુર બેભાન થઇને ઢળી પડ્યો હતો. યુવાન ઉપર ભમરાના હુમલાથી આસપાસના લોકોને તાત્કાલિક ઇમરજન્સી સેવા 108ને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદના ચાંદખેડા ખાતે ફરજ બજાવતા ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સના ઇએમટી મયુર પરમાર અને પાયલોટ ઇલિયાસ શેખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ભમરા કરડતા હોવાથી સલામતીના ભાગરૂપે પીપીઇ કીટ પહેરીને બેભાન યુવાની પાસે ગયા હતા. યુવાનને આખા શરીરે ભમરા કરડ્યા હોવાથી ભમરાના ડંખના કાંટાને શરીર ઉપરથી દુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવાનને 108માં લઇને ડોક્ટરના માર્ગદર્શન મુજબ યુવાનને પ્રાથમિક સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું. ભમરાના ડંખનો ભોગ બનેલા યુવાને પ્રાથમિક સારવાર મળતા 108માં જ ભાનમાં આવી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:25 am

DDOએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક:વિકાસના કેટલા કામો બાકી છે, કેમ બાકી છે કહી ડીડીઓએ અધિકારીઓના ક્લાસ લીધા

વિકાસના કામોને વહિવટી મંજુરી નહી મળતા જિલ્લા પંચાયતના સદસ્યો લાલઘૂમ બન્યા છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ સ્વભંડોળ, રેતી-કાંકરી, સ્ટેમ્પ ડ્યુટી, નાણાંપંચની ગ્રાન્ટમાંથી સુચવેલા વિકાસના કામોનો હિસાબ લીધો હતો. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર, ટીડીઓ, નાયબ કાર્યપાલક ઇજનેર, એસઓ સહિતની સાથે બેઠક કરીને કેટલા કામો હાલમાં બાકી છે. કામો કેમ બાકી છે. કામો ક્યારે પુરા થશે સહિતની માહિતી મેળવીને તાકિદે કામગીરી પૂર્ણ કરવાની સુચના જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી. જિલ્લા પંચાયતની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થવાને માંડ ચારેક માસ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે પોતાના મત વિસ્તારમાં લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને સદસ્યો દ્વારા વિવિધ વિકાસના કામો સુચવવામાં આવ્યા હતા. વિકાસના કામો સુચવ્યા બાદ તેની પ્રાથમિક અને વહિવટી મંજુરી નહીં મળવાથી સદસ્યોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો. ત્યારે વિકાસના કામોના મામલે વહિવટી તંત્ર અને સદસ્યો વચ્ચે નારાજગીના સૂર કારોબારી સમિતિની બેઠકમાં ઉઠવા પામ્યા હતા. આથી જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ દ્વારા વિકાસના કામો સત્વરે પૂર્ણ થાય તેના માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દર શુક્રવારે વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવશે. કાર્યપાલક ઇજનેર, ટીડીઓ, નાયબ કાર્યપાલક ઇજનેર અને એસઓની સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમાં વિકાસના કામો કેટલા હાલમાં પેન્ડિંગ છે. તેમાંથી કેટલા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. નહી કરાયેલા કામોની પાછળ કારણ શું છે સહિતની માહિતી મંગાવવામાં આવી રહી છે. તેમાં નાણાંપંચની ગ્રાન્ટ, રેતી-કાંકરીની ગ્રાન્ટ, સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાથી કેટલા કામો આવ્યા છે. કામોનો નિયત કરેલો હેતુ જળવાય છે કે નહી સહિતના પાસાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કામોની પ્રાથમિક મંજુરી આપ્યા બાદ તેની તાંત્રિક મંજુરી આપવામાં આવી છે કે નહી. વહિવટી મંજુરી આપેલ કામોમાં થયેલી પ્રગતિનો રિપોર્ટ લેવામાં આવશે. પૂર્ણ થયેલા વિકાસના કામોના બિલો સમયસર રજુ કરવામાં આવ્યા છે કે નહી સહિતના પાસાઓની ચર્ચા કરી માહિતી લેવામાં આવશે. જોકે આગામી સામાન્ય સભામાં વિકાસના કામોને લઇને સદસ્યોમાં વિરોધના સૂર ઉઠવાથી સભામાં ગરમાવો રહેવાની શક્યતા રહેલી છે. ત્યારે તેના સાવચેતીના ભાગરૂપે ડીડીઓએ બેઠક કરીને વિકાસના કામોની માહિતી માંગવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર, ટીડીઓ, નાયબ કાર્યપાલક ઇજનેર અને એસઓ સાથે મીટિંગ યોજાઇ ભાસ્કર ઇનસાઇડસ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ગરમાવોઆગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિકાસના કામોને સત્વરે પૂર્ણ કરવાની માંગણી સદસ્યો દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ તંત્રની ઉપર પણ રાજ્ય સરકારમાંથી પ્રજાલક્ષી કામોને પ્રાથમિક્તા આપીને તાત્કાલિક મંજુર કરીને કામગીરી શરૂ કરવાની સુચના આપવામાં આવી હોય તેવી ચર્ચા કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:24 am

ખાલી જગા પર જ્ઞાન સહાયકની ભરતી કરાશેે:પ્રા. સ્કૂલોમાં વિદ્યાસહાયકની ભરતી પર પૂર્ણ વિરામ મુકાયું

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતીની વાતો વચ્ચે હવે જ્ઞાન સહાયકની ભરતી કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જેના માટે શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવી છે. ત્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવાનું ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું સ્વપ્ન રોળાઇ જશે તેમ લાગી રહ્યું છે. જોકે શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતીને 18મી, નવેમ્બર સુધીમાં મોકલવાનો આદેશમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર દેશમાં શિક્ષણમાં રાજ્યનું સ્થાન 9માં ક્રમે આવ્યું છે. તેમ છતાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી રહી નથી. તેને બદલે કરાર આધારીત માસિક ફિક્સ વેતનવાળા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ શાળામાં વિદ્યા સહાયકોની ભરતી કરવાની વાતો વચ્ચે હવે જ્ઞાન સહાયકની ભરતીની તૈયારીઓ રાજ્યના શિક્ષણ વિભાગે હાથ ધરી છે. તેમાં રાજ્યના શિક્ષણ વિભાગે સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો મંગાવવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતીના આધારે આગામી સમયમાં માસિક ફિક્સ વેતન ઉપર કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી કરાશેે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:22 am

કાર્યવાહી:કુડાસણમાં મોબાઇલ ખરીદ- વેચાણનો ડેટા ન રાખતાં વેપારી સામે ગુુનો દાખલ

દિલ્હીમાં આતંકી હુમલા બાદ રાજ્યના પાટનગરમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. અલગ અલગ ટીમો દ્વારા જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા કુડાસણમાં આવેલી એક દુકાનના માલિક દ્વારા ખરીદ-વેચાણનુ રજીસ્ટર રાખવામાં આવતુ ન હતુ. જેથી પોલીસે દુકાનદાર સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દેશમાં આતંકીઓ સક્રિય બની ગયા છે, નિર્દોશ લોકોને શિકાર બનાવી દહેશત ફેલાવવા કાવતરા કરી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી ખાતે બોમ્બ ધડાકાની ઘટના સામે આવી છે. આતંકીઓ દ્વારા મોટા ભાગે બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગાંધીનગર પોલીસ દ્વારા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરી મોબાઇલ ફોનનો ઉપયોગ થયો હોવાથી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેથી મોબાઇલ અને સીમકાર્ડનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટરો,રીટેલરો,દુકાનદારો,ફેરીયાઓ દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરે અને યોગ્ય રજીસ્ટર નિભાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા પાટનગરના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ન્યૂ ગાંધીનગરના કુડાસણ ખાતે રાધે સ્ક્વેર નામના કોમ્પ્લેક્સમાં ફોન કેસીસ નામની મોબાઇલની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં હાજર કર્મચારીને પૂછતા તેમના દ્વારા મોબાઈલ ખરીદ કે વેચાણ અંગે કોઈ રજીસ્ટર નહીં નિભાવવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી ત્યાં હાજર કર્મચારીની પૂછપરછ કરવામાં આવતા તે અમદાવાદ ચાંદખેડા ખાતે રહેતો રાહુલ મુકેશભાઈ સુથાર હોવાનું જણાવ્યું હતું તે તેના માલિક મૃદુલભાઈ મહેન્દ્રભાઈ જૈનના કહેવાથી આ દુકાન ચલાવે છે. હાલ પોલીસ દ્વારા આ કર્મચારી સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:22 am

ભરતીની જાહેરાત:હિસાબ અને તિજોરી કચેરીમાં સબ ઓડિટર અને અધિક્ષકની 426 જગ્યા ભરવામાં આવશે

રાજ્યની હિસાબ અને તિજોરી કચેરીઓમાં ખાલી પડેલી સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર વર્ગ-3ની કુલ-426 જગ્યાઓ ભરવાની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવી છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ચાલુ માસની 30મી, નવેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરની હિસાબ અને તિજોરી કચેરી ખાતેની કચેરીઓમાં વર્ગ-3ની ખાલી પડેલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. તેમાં પેટા હિસાબીશ, સબ ઓડિટરની કુલ-321 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. જ્યારે હિસાબનીશ ઓડિટર, પેટા તિજોરી અધિકારી, અધિક્ષક સંવર્ગની કુલ-105 જગ્યાની પણ ભરતી કરાશે. આ માટે શૈક્ષણિક લાયકાતમાં બીબીએ, બીસીએ અને બીકોમ મેથેમેટીક્સ કે સ્ટેટસ્ટીકમાં સ્નાતકની લાયકાત નિયત કરાઇ છે. જ્યારે ઇકોનોમી, મેથેમેટીક્સ, સ્ટેટસ્ટિક વિષયમાંથી બીએની લાયકાત ધરાવતા ઉમેદવારો પણ ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતીમાં પાંચ વર્ષ માટે માસિક રૂપિયા 26000થી રૂપિયા 49600 સુધીનો પગાર આપવામાં આવશે. વધુમાં સરકારના નિયમોનુસાર ભરતીમાં મહિલા અને અનામત ઉમેદવારો માટે ઉંમરમાં છુટછાટ અપાઇ છે. ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે છુટછાટ અપાઇ છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:21 am

સામુહિક આરોગ્ય કેન્દ્રનું થશે નવીનીકરણ:સાદરામાં 5 કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાન બનશે

સાદરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ આપતા સામુહિક આરોગ્ય કેન્દ્રના જર્જરીત મકાનને તોડીને રૂપિયા 5 કરોડના ખર્ચે નવીન મકાન બનાવવામાં આવશે. આરોગ્ય કેન્દ્રના નવીન મકાનમાં લેબોરેટરી, ડિલેવરી, દવા, ડ્રેસિંગ, ડોક્ટર, નર્સિંગ, સ્ટોર સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળી શકે તે માટે સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. પરંતું છેલ્લા ઘણાં વર્ષોથી આરોગ્ય કેન્દ્રોના મકાનો જર્જરીત હાલતમાં થઇ જવાથી સારવાર અને નિદાન માટે આવતા દર્દીઓ ભોગ બને નહી તે માટે જર્જરીત મકાનોને તોડીને નવા મકાનો બનાવવામાં આવી રહ્યા છે. તેમાં સાદરાનું સામુહિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરીત થઇ જવાથી તેનું નવીન મકાન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે રાજ્યના આરોગ્ય વિભાગે જરૂરી ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવી છે. ત્યારે નવીન સામુહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ અંતર્ગત ભૂમિપૂજનનો કાર્યક્રમ તાલુકા પંચાયતના પ્રમુખ મહોબતજી ઠાકોર અને કારોબારી સમિતિના ચેરમેન પૂજા પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દક્ષા પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 5 કરોડના ખર્ચે તૈયાર થનાર સામુહિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનમાં દર્દીઓને ધ્યાનમાં રાખીને સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમાં જનરલ અને લેબર વોર્ડ, લેબોરેટરી વિભાગ, ડિલેવરી રૂમ, દવા આપવાનો રૂમ, કેસ કાઢવાનો રૂમ, ડ્રેસિંગ રૂમ, સ્ટોર રૂમ, ડોક્ટર રૂમ, નર્સિંગ રૂમ, એક્સ-રે વિભાગ સહિત બનાવાશે. સામુહિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાન આગામી ત્રણેક વર્ષમાં બનાવી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:20 am

જેલરની અજાણ્યા ઇસમ સામે સચિનમાં ફરિયાદ:રૂપિયા 10 કરોડની ખંડણીમાં જેલમાં VIP સુવિધા માટે 15 હજાર મગાયા

અડાજણ પોલીસમાં કાકા સસરાને બ્લેકમેલ કરીને રૂ.10 કરોડની ખંડણી માંગવાના ગુનામાં જેલમાં ગયેલા સ્મિત, જય અને પ્રશાંતના પરિવારને જેલરના નામે ફોન કરીને વીઆઇપી સુવિધા આપવાના બહાને રૂ.15 હજારની માંગણી કર્યાનો ઓડિયો વાયરલ થતા લાજપોર જેલના જેલરે સચિન પોલીસમાં ફોન કરનાર ગઠીયા નોંધાવી છે. કાકા સસરાને બ્લેકમેલ કરીને રૂ.10 કરોડની ખંડણી માંગવાના ગુનામાં અડાજણ પોલીસે સ્મિત મનુભાઇ ધોળકીયા, પ્રશાંત કાનજી કાછડીયા અને જય કરશનભાઇ ડાંગરની ધરપકડ કરી હતી. તા.8મી નવેમ્બરે પોલીસે તેમને કોર્ટમાં રજુ કરી કોર્ટે જેલમાં મોકલી આપ્યા હતા. તમામ પ્રક્રિયા પતાવીને તેમને રાત્રે 10.30 વાગ્યે જેલમાં મોકલ્યા હતા. આ પહેલા એટલે આરોપી કોર્ટમાં હતા ત્યારે સાંજે 6.30 વાગ્યાના અરસામાં સ્મિતની પત્ની સ્વિટીબેન પર ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ જેલર તરીકે આપી અને સુવિધા આપવા 15 હજાર માગ્યા હતા. જેલરના નામે ફોન કરનારી વ્યક્તિએ કરેલી વાતો વ્યક્તિ : સ્વિટી બેન સુરત લાજપોર જેલમાંથી જેલર સાહેબ બોલું છું, આ તમારો સ્મિત આવ્યોને તેણે તમારો નંબર આપ્યો હતો. હું જેલર સાહેબ બોલું છું એમના મિસીસ બોલો છો ને?સ્વિટી : હા હા વ્યક્તિ : હા તેણે કિધુ હતું મીસીસને કહેજો કે કોઇ ચિંતા કરે નહીં, એમને વીઆઇપીમાં રાઇખા છે.જમવાનું ટીફીન ચાલુ કરી દીધું છે સ્વિટીબેન.​​​​​​​સ્વિટી : બરાબર વ્યકિત : મારી વાત સંભળાય છે બેન,એમને ટીફીન ચાલુ કરી દીધું છે. ગાદલુ ગોદડુ બહારથી મંગાવી આપું છું. વીઆઇપીમાં રાઇખા છે સ્મિતભાઇને. વ્યક્તિ : હાલો ગુગલ પે કરો સ્વિટીબેન નંબર લખો 9974927095 વ્યક્તિ : શું નામ આવ્યું બેન એમા નાખો 15000 સ્વિટી : એક મિનીટ ચાલુ રાખો (બાદમાં ફરીવાર નંબર લીધો) ચેક કરતા વંદેમાત્રમ આવ્યું વ્યક્તિ : વંદેમાત્રમ આવ્યું ને હવે નાખો એમ પૈસા 15000 જ્યાં સુધી રહશે ત્યાં સુધીનો બધો ચાર્જ આવી ગયો સ્વિટી : બરાબર. વ્યક્તિ : રાત્રે 9 વાગ્યા પછી કોકના ફોનમાંથી વાત કરા‌વીશ. આ મારો સરકારી ફોન છે. સ્વિટી : એક મિનીટ ચાલુ રાખજો નેટવર્ક... મારા જેઠ આવે એટલે ટ્રાન્સફર કરાવાનું કહું મારામાં 15000 નાખવાનું બેલન્સ નથી. વ્યક્તિ : બેન આ જેલ છે જેલ સત્ય બોલો મે એને બહાર ઉભો રાખ્યો છે. સ્વિટી : પણ સાહેબ અત્યારે નથી ટાઇમ આપો વ્યક્તિ : હૈ સ્વિટી : થોડો ટાઇમ આપોને અત્યારે નથી હવે ઉભા રહો ને મારા જેઠે ફોન કરૂ, વ્યક્તિ : એ કરવાના છે તો જ કહેજો ખોટુ બોલશો તો અમે મારવાનું ચાલુ કરૂ છું, ખોટુ બોલવાનું જેલમાં નો હાલે. સ્વિટી : ખોટુ બોલવાનું એવુ નથી.પણ મારી પાસે હોવા જોઇ ને મારો ઘરવાળો ત્યાં આવાનો છે. વ્યક્તિ : શું કહો છો? સ્વિટી : મારો ઘરવાળો ત્યાં આવાનો છે મારે બીજા પાસે લેવાના છે.થોડી શાંતિ તો રાખો તમે ખોટુ બોલો કહ્યા કરો છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:02 am

આજે આંબલી ગામમાંથી CM યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરશે:સરદારને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રા ખોડીયાર માતાના મંદિરેથી શરૂ થઈને બે કિમી ફરશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં 16 મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 17મી નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આંબલી ગામ ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતેથી આ યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ થશે. ખોડીયાર માતાના મંદિરથી પદયાત્રાને CM શરૂ કરાવશેઘાટલોડીયા વિધાનસભામાં આવતા બોપલ ઓવર બ્રિજ પાસેના આંબલી ગામ નજીક ખોડીયાર માતાના મંદિરથી આ યુનિટી માર્ગ પદયાત્રાનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુભારંભ કરાવશે. મુખ્યમંત્રીની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મેયર પ્રતિભા જૈન સહિતના તમામ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. બે કિલોમીટરથી વધુ લાંબી પદયાત્રાસરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવશે. બે કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રા રહેશે. ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રોડ પર ફરી પૂર્ણ થશે. અમરાઈવાડીમાં સાંજે યુનિટી માર્ચ પદયાત્રા સાંજે અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે જેમાં અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલની આગેવાનીમાં વિધાનસભાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં અમદાવાદમાં યુનિટી માર્ચ:સરદાર પટેલનો ટેબ્લો અને 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યાસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં આજે 16મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. જેમાં આજે અમદાવાદના વિરાટનગર વોર્ડ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી જીતુ વાઘાણીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ)

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:00 am

ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન:શહેરના 1થી 30 સેક્ટરના 1400 દબાણો પર બુલડોઝરની કાર્યવાહી, 150 પોલીસ જવાનો તૈનાત રહેશે

ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશને પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશન દ્વારા તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. જે મુજબ આજરોજ મેગા ડિમોલિશન કરાય એવી તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ ચરેડી ફાટકથી GEB તરફ અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાંના દબાણો તોડી પાડ્યા બાદ હવે તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં રહેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી માટે 150 પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. 1400થી વધુ ઘર-ઝૂંપડાંના દબાણોને નોટિસો પાઠવવામાં આવી હતીપાટનગર યોજના વિભાગ હસ્તકની જમીનો પરના દબાણો દૂર કરવાની આ ઝુંબેશ અંતર્ગત 1થી 30 સેક્ટર વિસ્તારમાં ઊભાં થઈ ગયેલાં 1400થી વધુ ઘર-ઝૂંપડાંના દબાણોને નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે રહેવાસીઓ વર્ષોથી એક જ જગ્યાએ વસવાટ કરતા હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સહિતની માંગણીઓ કરી રહ્યા છે, પરંતુ નોટિસ છતાં દબાણકર્તાઓ તરફથી કોઈ જવાબ ન મળતાં હવે તંત્રનું બુલડોઝર આજે ગમે ત્યારે ફરી શકે છે. નોટિસોનો જવાબ ન મળતા દબાણો તોડી પાડવાનો તખ્તો ઘડી કાઢ્યોઆ સિવાય તંત્ર દ્વારા અન્ય બે મુખ્ય વિસ્તારોમાં પણ મેગા ડિમોલિશનની તૈયારીઓ ચાલી રહી છે. ઘ- 7સર્કલ પાસે અંદાજે 400 જેટલા ઝૂંપડાં આવેલા છે, જેમાંથી ઘણા લોકોને 1999ના સર્વે બાદ સેક્ટર-25 ખાતે આવાસો મળેલા હોવાનું કહેવાય છે. જ્યારે પ્રેસ સર્કલ પાસેના વિસ્તારમાં પણ અંદાજે 100 જેટલા ઝૂંપડાં તોડી પાડવાની તૈયારી છે.આ બંને વિસ્તારના અંદાજે 500 જેટલા ઝૂંપડાં છે. એ જ રીતે સેકટર-24 ખાતે પણ 300 જેટલા ગેરકાયદેસર દબાણો છે.જ્યારે રાંધેજા વિસ્તામાં પણ ધાર્મિક દબાણ સહિતના કાચા પાકા દબાણો ઉભા થઈ ગયાં છે.દબાણકર્તાઓને અગાઉ નોટિસો આપવામાં આવી હોવા છતાં જવાબ ન મળતાં તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. દબાણ હટાવ ઝુંબેશ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથીવિશ્વસનીય પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ મેગા ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. જેના પગલે આજરોજ પેથાપુર અને સેક્ટર-21 પોલીસ મથકની હદ વિસ્તારમાં કાર્યવાહી કરવાના ભાગરૂપે કુલ દોઢસો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જોકે, તંત્ર દ્વારા મોડી રાત સુધી આ મેગા દબાણ હટાવ ઝુંબેશ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ, પોલીસ બંદોબસ્તની ફાળવણી જોતાં ગત વખતની માફક આજરોજ ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ત્રાટકે એવી પ્રબળ સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:00 am

સાહેબ મિટિંગમાં છે:'વંદે ભારત'માં સવાર થઈ નેતા-અધિકારીઓ વલસાડ ચિંતન શિબિરમાં જશે, બોર્ડ-નિગમોમાં ગમે તે ઘડીએ રાજકીય નિમણૂકોની જાહેરાત કરી દેવાશે

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... નેતા-અધિકારીઓ વંદે ભારતમાં સવાર થઈ વલસાડ ચિંતન શિબિરમાં જશેઆગામી 27,28 અને 29મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક આવેલા ધરમપુરમાં સરકારની ચિંતન શિબિર યોજાવાની છે. ત્યાં પહોંચવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તમામ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના તમામ IAS અધિકારીઓ તેમજ રાજયના પોલીસ વડા વિકાસ સહાય પણ ટ્રેનમાં જશે. સવારે અમદાવાદથી ઉપડતી વંદે ભારતમાં તમામ મહાનુભાવોની ટિકિટનુ બુકીંગ થઈ ગયુ છે. આ ટ્રેન બપોરે 12 વાગ્યા પહેલા વલસાડ પહોંચી જશે. ત્યાં જઈને બપોરનુ ભોજન કરશે અને ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે ચિંતન શિબરનો આરંભ થશે. તમામ મહાનુભાવોની રહેવા માટે પણ આ આશ્રમમા જ વ્યવસ્થા કરાઈ છે. આશ્રમના રસોઈયાઓ દ્રારા તૈયાર કરાયેલુ ભોજન પીરસાશે. તમામ મહાનુભાવો 29મીની સાંજે વલસાડથી જ તેજસ ટ્રેન દ્રારા અમદાવાદ પરત ફરશે. આ તમામ આયોજનની જવાબદારી GADના એઆરટીડી-એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મસ એન્ડ ટ્રેનિંગ ડીવિઝનના આઈએએસ અધિકારી હારિત શુક્લાને સોંપાઈ છે. સતત બીજી ચિંતન શિબિરની જવાબદારી તેમના શિરે છે. સરકારી બોર્ડ નિગમોમાં હવે ગમે તે ક્ષણે રાજકીય નિમણૂકો કરાશેછેલ્લા ઘણા સમયથી સરકારી બોર્ડ-નિગમોમાં રાજકીય નિમણૂકો કરાશે એવી વાતો ચાલી રહી છે.આ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દેવાઈ હતી. ત્યારબાદ મંત્રીમંડળનુ વિસ્તરણ પણ કરી દેવાયુ છે. હવે બોર્ડ નિગમોની નિમણૂકોની રાહ જોવાઈ રહી છે. સચિવાલયમાં ચર્ચા છે કે, બોર્ડ નિગમોમાં રાજકીય નિમણૂક માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં એક ડઝનથી વધુ નિમણૂકો થઈ શકે છે. જેની નિમણૂકો થવાની છે તેમને હજુ સુધી કશુ કહેવાયુ નથી પરંતુ અનેક આગેવાનો નેતાઓ પાસેથી બાયોડેટા મંગાવાયા છે. નવા પ્રદેશ પ્રમુખ અને વિસ્તરણમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે બોર્ડ નિગમોમાં પણ ધીરજના ફળ કેટલાક લોકો માટે મીઠા સાબિત થશે. બિહારની ચૂંટણીની ભાજપની જીતમાં ગુજરાતના નેતાઓ અને નાના કાર્યકરોનો ફાળો પણ મહત્વનોબિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-એનડીએની ભવ્ય જીત થઈ છે તેમાં ગુજરાતના ભાજપના નાના મોટા નેતાઓ,સાંસદો,ધારસભ્યો અને કાર્યકરોનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. કારણ કે, ગુજરાતના કેટલાય નેતાઓને બિહારની જવાબદારી સોંપાઈ હતી. આથી તેઓ નિયમિત રીતે બિહારની મુલાકાતો લેતા હતા. દિવાળીના પ્રસંગે પણ માત્ર બે દિવસ ઘર પરત આવ્યા હતા. ત્યારબાદ તુરંત જ પાછા જતા રહ્યા હતા. આવા નેતાઓ-આગેવાનોની સાથે સમયાંતરે જૂદા જૂદા વિસ્તારોના કાર્યકરો પણ સાથે જતા હતા. બિહારના વિવિધ વિસ્તારોમાં જઈ ત્યાંના કાર્યકરો-આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા હતા. તેમજ જાહેર સભાઓમાં પણ પ્રવચન કરતા હતા. તેઓએ પણ ખરેખર કરવા ખાતર નહી પણ સખત મહેનત કરી હતી. ભાજપના પૂર્વ ધારસભ્ય મધુ શ્રીવાસ્તવને હજુ પણ રાજકારણમાં રહેવાના અભરખાભાજપના એક સમયના દબંગ ગણાતા પૂર્વ ધારસભ્ય મધુ શ્રીવાસ્તવને છેલ્લી ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહી આપીને તેમને હવે નિવૃત્ત કરી દીધા છે. તેઓ 60 વર્ષથી ઉપરના છે. જો કે ટિકિટ ફાળવણીના મુદ્દે તેઓએ એ સમયે ભાજપનુ નાક દબાવવાના પણ પુરતા પ્રયાસો કર્યા હતા પણ ભાજપ હાઈકમાન્ડે તેમને હવે ફરીથી ટિકિટ નહી આપવાનુ મન બનાવી લીધી હતુ જેમાં તેઓ અડગ રહ્યા હતા. છેલ્લા બે દાયકાથી ભાજપના દબંગ નેતાની નામના મેળવેલા મધુ શ્રીવાસ્તવ હવે સાવ કોરાણે મુકાઈ ગયા છે. તેમની પાસે કોઈ પ્રકારનો રાજકીય પાવર રહ્યો નથી. જેથી તેઓ હવે કોઈપણ હિસાબે કોઈ પોસ્ટ મેળવવા માગે છે. માટે જ તેઓએ ફરીથી રાજકીય ચળવળ શરુ કરી છી. તેઓએ વડોદરામાં તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચતીમાં કહ્યુ હતુ કે, મારે હજુ ત્રણથી ચાર પક્ષ સાથે વાતચીત ચાલી રહી છે. અગાઉ બેફામ બોલનારા મધુ શ્રીવાસ્તવ હવે શાંત થઈ ગયા છે. તેઓ કોઈ નવા રાજકીય પક્ષ સાથે ચૂંટણી મેદાનમાં આવવાની તૈયારી કરતા હોય એવુ લાગી રહ્યુ છે. આ મહિનાના અંતે ACS સુનયના તોમર નિવૃત્ત, કેટલાક IAS અધિકારીઓની બદલીઓ થશેએડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમર 30મી નવેમ્બરે વય નિવૃત્ થવાના છે.તેમની પાસે હાયર એજ્યુકેશન અને જીએડીનો વધારાનો હવાલો છે. બન્ને ખાતા મોટા અને મહત્વના છે. ઉપરાંત મુખ્ય સચિવ બન્યા પછી પણ એમ.કે. દાસ પાસે હોમ ડીપાર્ટમેન્ટનો વધારાનો હવાલો છે. મુખ્ય સચિવ પાસે વધારાના ડીપાર્ટમેન્ટનો હવાલો હોય એવુ પણ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર બન્યુ છે. માટે તેમનો વધારાનો હવાલો પણ કોઈને આપવાનો થાય છે. ઉપરાંત CMOમાં પણ એક આઈએએસ અધિકારીની જગ્યા ખાલી છે. ડિસેમ્બરના અંતે એસ.જે. હૈદર નિવૃત્ત થવાના હોઈ, તેમનો ચાર્જ પણ કોઈ અન્ય અધિકારીને સોંપવો પડશે. માટે આગામી દિવસોમાં કેટલાક આઈએએસ અધિકારીઓની બદલીઓ થશે તેમજ અમુકને વધારાના હવાલા પણ સોંપાઈ શકે છે. આગામી જાન્યુઆરીમાં પાંચ પ્રિન્સિપલ સેક્રેટરીઓને એડિશનલ ચીફ સેક્રેટીરી તરીકેનુ પ્રમોશન મળ્યા બાદ મોટાપાયે બદલીઓ થશે. જે પાંચને એસીએનુ પ્રમોશન મળવાનુ છે તેમાં મોના ખંધાર,ટી.નટરાજન,મમતા વર્મા,રાજીવ ટોપનો અને મુકેશકુમારનો સમાવેશ થાય છે. SIRના ફોર્મ વિતરણની ખુબ જ ઝડપી કામગીરીથી ભારતીય ચૂંટણી પંચ ખુશગુજરાતમાં એસઆઈઆર-સ્પેશિયલ ઈન્ટેન્સીવ રીવિઝનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારતીય ચૂંટણી પંચના આદેશને પગલે ગુજરાતના મુખ્ય નિર્વાચીન અઘિકારી દ્રારા ઝડપ કરાઈ છે. બીએલઓ દ્રારા ફોર્મ વિતરણ કરાઈ રહ્યુ છે. જો કે, શનિવાર સુધીમાં જ સમગ્ર ગુજરાતમાં ફોર્મ વિતરણની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ હતી. હવે સોમવારથી બીએલઓ ઘરે ઘરે જઈને ભરેલા ફોર્મ પરત લેવાનુ શરુ કરશે.એવી ધારણા કરાઈ રહી છે કે, ગુજરાતના મુખ્ય નિર્વાચીન અધિકારીના કાર્યાલય દ્રારા પ્રચાર પ્રસાર પણ ખુબ જ સારી રીતે કરાઈ રહ્યો છે. જેમાં સોશિયલ મીડિયોનો પણ ભરપુર ઉપયોગ કરાઈ રહ્યો છે. મતદારોએ કઈ રીતે ફોર્મ ભરવુ, તેમાં શું ધ્યાન રાખવુ વગેરે જવી તમામ વિગતોની ખુબ જ સારી રીતે સમજાવટ કરાઈ હતી. જેને પગલે મોટાભાગના મતદારોને ફોર્મ ભરવામાં કોઈ જ મુશ્કેલીઓ થઈ નહોતી. હવે બીએલઓ ઘરે આવશે ફોર્મ તપાસશે જો કંઈ અધુરી વિગતો હશે તો મતદારોને મદદ કરીને ફોર્મ ભરાવીને પરત લઈ લેશે. ગુજરાતના ચૂંટણી અધિકારીઓની ઝડપી કામગીરીથી કેન્દ્રીય ચૂંટણી પંચ ખુશ છે. નેશનલ બુકફેરમાં કેન્દ્રીય મંત્રી-સીએમ આવ્યા પણ કોઈએ પ્રવચન કેમ ન કર્યુ તેની ચર્ચાઅમદાવાદના રિવરફ્રન્ટ પર નેશનલ બુક ફેર ચાલુ થયો છે.જેનુ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અન્ય મંત્રી દર્શનાબેન વાઘેલા,રિવાબા જાડેજા સહીતના નેતાઓ હાજર રહ્યા હતા. પુસ્તક મેળામાં સ્કુલના પાંચ હજારથી વધુ બાળકોને પણ ખાસ હાજર રખાયા હતા.જો કે, તેઓને દર વખતની જેમ આ વખતે પણ તડકામાં જ બેસવુ પડ્યુ હતુ.બુકફેરને ખુલ્લો મુકાયા બાદ મહાનુભાવો પ્રવચન આપતા હોય છે. ત્યાં હાજર રહેલા બાળકો અને લોકો નેતાઓ શું બોલશે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે નેતાઓએ મંચ પરથી ચાલતી પકડી હતી. શા માટે નેતાઓએ પ્રવચન ન આપ્યુ તેની ચર્ચા ચાલી હતી.બાળકોએ તડકામાં સમય વિતાવ્યો હતો બીજી બાજુ ઓડિશાના જગન્નાથપુરી મંદિરના ખાસ રસોઈયા દ્રારા પ્રસાદ-ભોજન તૈયાર કરાયુ હતુ.પ્રતિ ડીશનો ભાવ રુ.2100નો હતો. જો કે, મહાનુભાવો આ ખાસ ભોજનનો આસ્વાદ માણવાનુ ચૂક્યા નહોતા. અમદાવાદ મનપાની વિવિધ કમિટીની બેઠકોમાં ડે. કમિશનરો ગેરહાજર રહેતા હોવાની ચર્ચાઅમદાવાદના IAS અધિકારી મ્યુ. કોર્પોરેશનમાં પ્રજાના કામો માટે નીમવામાં આવેલી કમિટીઓમાં જે તે વિભાગના ડેપ્યુટી મ્યુ. કમિશનરની હાજરી માટે ગંભીર ન હોય તેમ ગમે ત્યારે મિટિંગમાં બોલાવી લેતા હોવાને લઈ ભાજપના કોર્પોરેટરો અને હોદ્દેદારોમાં ચર્ચા જાગી છે. 15 દિવસમાં એક વાર મળતી કમિટીમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો અને જે તે વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ વડા હાજર હોય છે. જોકે કમિટીની તારીખ અને સમય નક્કી હોવા છતાં પણ હાજર રહેવામાં ઠાગાઠૈયા કરતા હોય છે જેની પાછળનું કારણ IAS અધિકારી મિટિંગમાં બોલાવી લે છે. આ મામલે એક કમિટી દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હાજર ન રહેતા તમામ કામોને આગળની કમિટી માટે બાકી રાખવા પડ્યા હતા. એક કમિટી હોવા છતાં પણ IAS અધિકારીએ મીટીંગ રાખી દીધી હતી જેને અધવચ્ચેથી છોડીને કમિટીમાં આવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ઉચ્ચ અધિકારીઓના રાઉન્ડ બાદ પણ કાલુપુર રેલવે સ્ટેશન બહાર લારીઓનું દબાણરાજ્યના સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુ મુસાફરોની સુરક્ષાને લઈ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે ચિંતા કરવામાં આવી હતી, પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી એવી કહેવતને સાબિત કરી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન આસપાસ લારીઓ અને રીક્ષાઓના દબાણને લઈને ભાજપના કોર્પોરેટરે રજૂઆત કરવી પડી છે. મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે ત્યારે એ રેલવે સ્ટેશનની એકદમ બહાર જ લારીઓ રોડ ઉપર ઉભી રહે છે જેના કારણે અવરજવરમાં તકલીફ પડે છે આવી લારીઓ કાયમી હટાવી તેનો ઉકેલ લાવવામાં આવતો નથી જેને લઇને કમિશનર સુધી ભાજપના કોર્પોરેટરે મિટિંગમાં કહેવું પડ્યું હતું. IPS અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ રાઉન્ડ લે છે પરંતુ માત્ર જોઈ અને સૂચના આપી જતા રહેશે પાછળથી અમલ ન થતા કોર્પોરેટરોએ ધ્યાન દોરવું પડે છે. અનામત સીટોની જાહેરાત બાદ અનેક કોર્પોરેટરો આવનારી ચૂંટણીને લઈ ચિંતિતગુજરાતમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે ત્યારે અમદાવાદના ભાજપના કોર્પોરેટરોમાં ભારે ચર્ચાનો વિષય અનામત સીટોને લઈને થઈ રહ્યો છે. ચૂંટણીમાં સીટ અનામત આવતાની સાથે જ કેટલાક કોર્પોરેટરોની સીટ કપાઈ ગઈ છે અને કેટલાક કોર્પોરેટરોને પોતાની સીટ બદલવી પડી રહી હોવાના પગલે આગામી ચૂંટણી લડી શકશે કે કેમ તેને લઈને અસમંજસમાં છે. ગુજરાત ભાજપનું પ્રદેશ સંગઠનનું માળખું હજી જાહેર નથી થયું ત્યારે કોર્પોરેટરો અસમંજસમાં છે. ગત ટર્મમાં ભાજપના ત્રણ સિનિયર મંત્રીઓનું વધારે ચાલ્યું હતું ત્યારે હવે ચાલુ વર્ષે મંત્રીઓ ચાલશે કે પછી પ્રદેશ પ્રમુખ નક્કી કરશે તેને લઈને ચર્ચા છે. યુનિટ માર્ચમાં આવેલા લોકોએ બબ્બે કિલોમીટર ચાલવું પડ્યુંગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની વિધાનસભામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતીને લઈને યુનિટી માર્ચ યોજાઈ હતી. આ યુનિટી માર્ચમાં ભાગ લેવા માટે આવનારા લોકોને બસમાં લાવવામાં આવ્યા હતા. જોકે બસમાં આવનારા લોકોને સવારે એકથી બે કિલોમીટર જેટલું ચાલવું પડ્યું હતું. વિરાટનગર પૂર્વ ઝોન ઓફિસથી લઈને ફુવારા સર્કલ સુધી લોકોને ચાલીને આવવું પડ્યું હતું. રોડ ઉપર બહાર ઉતારી દેવામાં આવ્યા હતા કોઈપણ વાહનો અને સોસાયટીના કેટલાક લોકોને પણ જવા દેવામાં આવ્યા નહોતા જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સભા સ્થળ દૂર અને વચ્ચેથી જઈ શકાય તેવી સ્થિતિ હોવા છતાં પણ રોડ બંધ કરી દેવામાં આવતા સભામાં આવનારા લોકોને સ્થાનિકોને હાલાકી પણ ભોગવવી પડી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 7:00 am

ડુમસ-અડાજણમાં સાઇબર ફ્રોડ કરતા બે કોલ સેન્ટર પકડાયા:પર્સનલ લોન આપવાનું કહી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા, દેશભરમાં ઠગાઈ

ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગ્લોબલીંક ટેક સર્વિસના નામે ચાલતી ઓફિસ પર સુરત સાયબર ક્રાઇમની ટીમે છાપો મારીને સાઇબર ફ્રોડનું કૌભાંડ પકડી પડ્યું છે. આ કંપની દ્વારા લોકોને પર્સનલ લોન આપવા તેમજ જોબ આપવાના બહાને આધાર પુરાવા મેળવી લીધા બાદ પૈસા પડાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો, જેમાં ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલી ગ્લોબલિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાઈબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. પોલીસે તપાસ કરતા સંચાલક નિતેશ વિજય ખવાણી (રહે જય હિન્દ સિંધી સોસાયટી પાર્લે પોઇન્ટ સુરત) દ્વારા સુઆયોજિત રીતના પર્સનલ લોનના બહાને કૌભાંડ ચલાવવામાં આવતું હતું. તેમની કંપની દ્વારા સોશિયલ મીડિયા ઉપર પર્સનલ લોન માટેની જાહેરાતો કરવામાં આવતી હતી. જ્યારે ગ્રાહક તેમની પાસે લોન માટેની ઇન્કવાયરી કરે તો તેની ટીમ દ્વારા ગ્રાહક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવતા હતા. તેના આધારે ગ્રાહકની જાણ બહાર ACH મેન્ડેડ તૈયાર કરી લેવામાં આવતું હતું અને જેના આધારે ગ્રાહકની જાણ બહાર તેના ખાતામાંથી 13500થી લઈ ₹25,000 સુધીની રકમ ઉપાડી લેવામાં આવતી હતી આ રકમ સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામની કંપનીની કાર્ડમાં લેવામાં આવતી હતી. પોલીસ તપાસમાં નિતેશે તેની બીજી શાખા પાલનપુર ગામ સ્થિત રોયલ ટેટીનિયમમાં હોવાનું કહેતા પોલીસે ત્યાં તપાસ શરૂ કરી હતી. અહીં લોકોને જોબ આપવાનું કહીને છેતરપિંડી કરવામાં આવતી હતી. ઓનલાઇન જોબ ના બહાને નોકરી ઈચ્છુક વ્યક્તિને bytesolver કંપનીમાં જોબ આપવાના બહાને કરાર કરાવતો હતો અને બાદમાં કરાર ભંગ કર્યો હોવાનું કહીને પૈસા પડાવવામાં આવતા હતા. આ બ્રાન્ચ સંભાળતા મોહમ્મદ જાવેદ (રહે, સોયેબા રેસીડેન્સી, મહિધરપુરા)ની પોલીસે ધરપકડ કરી હતી. આ બંને ઓફિસમાંથી પોલીસે બે લેપટોપ, છ મોબાઇલ ફોન અને અનેક દસ્તાવેજો સહિત ૧.૩૦ લાખની મત્તા કબજે લીધી છે.’’ગ્લોબલિંક ટેક સર્વિસીસ પ્રા. લિ.’’ તરીકે ચાલતી કંપનીનું દુબઈમાં રજિસ્ટ્રેશન હાઈ અને તેના ડિરેક્ટર તરીકે સતીન્દરપાલ સિંઘ અને અભિષેક ગોસ્વામીના નામ સામે આવ્યા છે. ભાસ્કર ઇનસાઇટ નોકરી આપતી વખતે 15 પેજના ડિજિટલ કોન્ટ્રાક્ટમાં શરત ભંગનો છુપોનિયમ રાખતાપાલનપુર ગામ ખાતે આવેલી કંપનીની અન્ય શાખામાં કામ કરતા કેટલાક કર્મચારીઓ વર્ક ઇન્ડિયા વેબસાઇટ મારફતે નોકરી શોધતા લોકોનો ડેટા મેળવી તેમની સાથે સંપર્ક કરતા. તેઓ Bytesolver નામની ટાયઅપ કંપનીમાં ઘરે બેઠા કામ કરી કમાણી કરી શકાશે એવું કહી જોબ પ્લેસમેન્ટનું પ્રલોભન આપતા. જોબ શોધનાર પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી કંપનીની CAI એપ્લિકેશન દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં આવતું, જેમાં ટર્મ્સ-એન્ડ-કન્ડિશનમાં એક ડિજિટલ 15 પેજનો કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવતો જેમાં ડિજિટલ સહી પણ કરાવી લેતા.આ કોન્ટ્રાક્ટ મુજબ ઉમેદવારને ₹10,000 + GST તરીકે ફી ચૂકવવાની શરત છુપાવવામાં આવતી હતી. દસ દિવસ બાદ જે તે વ્યક્તિને શરત ભંગ કરી હોવાનું કહી પૈસા પડાવવામાં આવતા હતા. અને પૈસા ન આપે તો વકીલની નોટિસ આપતા હતા. સુરત ઉપરાંત મુંબઈ, ફરીદાબાદ , પુના, ગોવા સહિત વિવિધ રાજ્યોના લોકો પણ ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. ACH Mandate એગ્રીમેન્ટ કરી ઠગાઈસાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો, જેમાં ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલી ગ્લોબલિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાઈબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. પોલીસે તપાસ કરતા સંચાલક નિતેશ વિજય ખવાણી (રહે જય હિન્દ સિંધી સોસાયટી પાર્લે પોઇન્ટ સુરત) દ્વારા સુઆયોજિત રીતના પર્સનલ લોનના બહાને કૌભાંડ ચલાવવામાં આવતું હતું. તેમની કંપની દ્વારા સોશિયલ મીડિયા ઉપર પર્સનલ લોન માટેની જાહેરાતો કરવામાં આવતી હતી. જ્યારે ગ્રાહક તેમની પાસે લોન માટેની ઇન્કવાયરી કરે તો તેની ટીમ દ્વારા ગ્રાહક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવતા હતા. તેના આધારે ગ્રાહકની જાણ બહાર ACH મેન્ડેડ તૈયાર કરી લેવામાં આવતું હતું અને જેના આધારે ગ્રાહકની જાણ બહાર તેના ખાતામાંથી 13500થી લઈ ₹25,000 સુધીની રકમ ઉપાડી લેવામાં આવતી હતી આ રકમ સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામની કંપનીની કાર્ડમાં લેવામાં આવતી હતી. ભાસ્કર ઈનસાઈટઆરોપી નિતેશે જણાવ્યું હતું કે Globelink Tech Services Pvt. Ltd.કંપની ઝોમેટો જેવી અન્ય એજન્સી સાથે જોડાયેલા હોવાનું કહી પ્રોમો કૂપન આપવાનું કહેતા. જેમાં તેઓ CAI એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી કૂપન મળશે જે કૂપન મારફતે તેમને 25થી 50 ટકા સુધીનું કમિશનની લાલચ આપતા.પ્રોમો કુપન વેચાણનો બહાનો બનાવી સોશિયલ મીડિયા દ્વારા પર્સનલ લોન અપાવવાની ખોટી જાહેરાત કરવામાં આવતી હતી. કસ્ટમર ઇન્કવાયરી કરતાની સાથે જ ટીમના સભ્યો તેમની સાથે સંપર્ક કરી વિવિધ લોન અપાવવાના બહાને તેમના આધાર સહિતના જરૂરી દસ્તાવેજ મેળવતા. ત્યારબાદ ગ્રાહકને જાણ કર્યા વગર ACH Mandateનાં ખોટાં દસ્તાવેજ તૈયાર કરી બેંકને ઇમેઇલ મોકલી ગ્રાહકોના એકાઉન્ટમાંથી જુદી જુદી રકમ ગેરકાયદેસર ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં જમા કરાવી ઓનલાઇન છેતરપીંડી કરતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:57 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદમાં ટાંકી 600 મીટર દૂર છતાં 2 વર્ષથી લોપ્રેશર, તંત્રએ કહ્યું ‘તમારી ટાંકી મોટી કરો’

બમરોલી-વડોદ રોડના મિલન પોઇન્ટ પાસે પાણીની ટાંકીથી માંડ 600 મીટ દૂર આવેલી 6 સોસાયટીમાં જ લો-પ્રેસરથી પાણી મળતાં 7 હજાર લોકો 2 વર્ષથી ત્રાસી રહ્યા છે. વિભાગે વસાહત વધતા પાણી નવેસરથી જોડાણ લેવાનો આગ્રહ દર્શાવ્યો છે પરંતુ સોસાયટીઓ બની, મકાન વેચાયા અને રહેણાક ગીચ થયાનાં 7 વર્ષે પણ રહીશો લાચાર છે. 24X7 મીટર હોવા છતાં લોકો વલખાં મારે છે. શ્રી ઉમિયા રેસિડેન્સીના 120 પરિવારોની દશા દયનીય છે, આસ્થા રેસિડેન્સી, શ્લોક આર્કેડ, ઓમ કોમ્પ્લેક્સ, ગજાનંદ સંકુલ અને અમીઝરા રેસિડેન્સીએ 2 વર્ષમાં અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ મળતો નથી. ઉમિયા રેસિડેન્સીના રહીશોએ તો મકાન વેચી દેવા માટે તૈયારીઓ દર્શાવી હોવાની લાચારી છે. પીવાનું પાણી GIDCમાં ઠલવાય છે અમારું પાણી GIDCને અપાય છે. ત્યાં રજા હોય ત્યારે પૂરતું પ્રેશર મળે છે. 2 વર્ષમાં 13થી વધુ ફરિયાદ કરી છે. લાઈનનું વિસ્તૃતિકરણ ખુબ જરૂરી બન્યું છે. > દીક્ષિત પટેલ, રહીશ માથાકૂટ થતાં પોલીસ બોલાવાઈ હતી ​​​​કરકસરથી પાણી વારવા મુદ્દે માથાકૂટ થતાં બિલ્ડિંગમાં ઝઘડા થાય છે. શરૂઆતથી જ સાંકડી લાઇન છે. > હસુમતી પટેલ, ગૃહિણી ઉમિયામાં લો-પ્રેશરની સમસ્યા વધુ છે, પરંતુ જે તે પરિસરમાં જ સ્ટોરેજ ક્ષમતા વધારવાની જરૂર છે. સોસાયટીનું લીગલ કનેક્શન ઇન્ડસ્ટ્રિયલ લાઇનમાંથી લેવાયું હતું. જો કે, એકમોને માપસર જ એટલે વધારે પાણી આપતાં ન હોવાથી સર્જાયેલી આ સમસ્યાનો વારંવાર ઉકેલ પણ લાવવામાં આવે છે. > વિકાસ પટેલ, ઇજનેર, હાઇડ્રોલિક વિભાગ

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:52 am

આપઘાતનો મામલો:FSLના કોન્ટ્રાક્ટ કર્મચારીએ આર્થિક તંગીની આપઘાત કર્યો

બે દિવસથી ગુમ થયેલા એફએસએલના કોન્ટ્રાક્ટ કર્મચારીનો નાનપુરા નાવડી ઓવારા નજીક તાપીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. યુવાન કર્મચારીએ આર્થીંક ભીંસના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બેગમપુરા ચીડીયાકુંઈ નળવાળા મહોલ્લામાં રહેતા 29 વર્ષીય સાજન ચંપકલાલ પારનેરીયા ફાલસાવાડી ખાતે આવેલી એફએસએલની ઓફિસમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતા. શુક્રવારે સવારે તેઓ ઘરેથી નોકરી પર જવાનું કહી પગપાળા નીકળ્યા હતા. જોકે તેઓ નોકરી પર પહોંચ્યા ન હતા અને સાંજે ઘરે પરત પણ ફર્યા ન હતા. જેથી પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમના ગુમ થવાની ફરીયાદ પણ આપી હતી. દરમ્યાન રવિવારે સવારે નાવડી ઓવારા પાસે તાપીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આર્થીક ભીંસના કારણે તેમણે તાપીમાં પડતું મુકી આપઘાતનું પગલું ભર્યું હોવાની પરિવારે શક્યતા વ્યકત કરી હતી. બનાવ સંદર્ભે અડાજણ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમને અન્ય બે ભાઈ અને બે બહેન છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:49 am

ખંડણીની માંગ:આપની મહિલા કાર્યકર અને તેના દિકરા સહિત ત્રણે રૂ. 25 લાખની ખંડણી માગી

છ વર્ષની મિત્રતા બાદ છેડતીની ફરિયાદ કરવાની ધમકી આપીને રૂ.25 લાખની માંગણી કરનાર આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર અને તેના દિકરા સહિત ત્રણ સામે કાપોદ્રા પોલીસમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે મહિલાએ સામી છેડતીની ફરિયાદ નોંધાવી છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હીરાબાગ વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ધનસુખભાઇ મોહનભા ગુજરાતી (ઉવ.58) હાલ નિવૃત જીવન ગાળે છે. પાંચેક વર્ષ પહેલા જ્યારે આપમાંથી એક મહિલા ચૂંટણી લડી હતી. ત્યારે ઘનસુખભાઇને તેમની સાથે પરિચય થયો હતો. બાદમાં ગાઢ મિત્રતા બંધાઇ હતી. બંને એક બીજાના ઘરે જતા હતા અને ફરવા પણ જતા હતા. છ વર્ષ સુધી તેમની આ દોસ્તી ચાલી હતી. દરમિયાનમાં આ મહિલા જરૂર હોય ત્યારે ઘનશ્યામભાઇ પાસેથી પૈસા લેતી હતી. જોકે, બાદમાં ઘનશ્યામભાઇએ પૈસા આપવાનો ઇન્કાર કરતા તેમની વચ્ચે સબંધ ઓછા થઇ ગયા હતા. દરમિયાનમાં તા.21-7-2025ના રોજ મહિલાએ ઘનશ્યામભાઇને ફોન કરીને કાપોદ્રા પાસે બોલાવ્યા હતા. ત્યાં જતા મહિલા તેમની કારમાં બેસી ગઇ હતી કાર મંદિર પાસે પાર્ક કરીને વાત કરતા હતા ત્યારે મહિલાએ તેમની પાસે રૂ. 7 લાખની માંગણી કરી હતી અને પૈસા નહીં આપે તો છેડતીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને પોતે ઝેર પીધાનું અને દિકરાને લોકેશન મોકલી આપ્યું હોવાનું કહ્યું હતું. દરમિયાનમાં મહિલાનો દિકરો તેના મિત્ર સાથે ત્યાં પહોંચી ગયો હતો અને તેણીને સાથે સમાધાન કરવાનું કહીને રૂ. 25 લાખની માંગણી કરી હતી. આખરે ઘનશ્યામભાઇએ કાપોદ્રામાં મહિલા તેના દિકરા તથા મિત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. ‘મારી પત્ની મારી જરૂરિયાત પૂરી કરી શકતી નથી’મહિલાએ ઘનશ્યામભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ઘનશ્યામભાઇ સાથે કારમાં ભાડાનું મકાન જોવા જતા હતા ત્યારે તેમને પાણીની તરસ લાગતા કાર રોકવાનું કહ્યું હતું. ત્યારે ઘનશ્યામભાઇએ તેમને પોતાની પાસેની જ્યુસની બોટલ આપી હતી. બાદમાં મારી પત્નીને કમરનો દુ:ખાવો હોય મારી જરૂરીયાત પુરી કરી શકતી નથી તમે મને બહુ ગમો છો એમ કહીને છેડતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:48 am

ભાસ્કર એક્સક્લુસિવ:જેના જીવનમાં ભાવ છે તે આનંદથી જીવી શકે, ભાવવિહીન વ્યક્તિ જીવનમાં સુખી નથી: સતશ્રી

સ્વામિનારાયણ સતધામ ખાતે શાકોત્સવનું રવિવારે સાંજે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તા સતશ્રીએ જણાવ્યું હતું કે જેના જીવનમાં ભાવ છે તેના જીવનમાં આનંદ છે ભાવવિહીન વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી થઈ શકતો નથી જેના જીવનમાં ભાવ છે તેનામાં રાષ્ટ્રભક્તિ, પ્રભુભક્તિ અને સમાજ પ્રત્યે ઉદારતા જેવા અને ગુણો ખીલે છે. ભાવવિહીન હૃદયથી કોઈપણ સારું કાર્ય થઈ શકતું નથી તેની અંદર અનેક પ્રકારની થાય છે વિક્ષેપ અને અવરોધ આવી જાય છે પરંતુ ભાવ હ્રદયથી આપણે ધારેલા તમામ સારા કાર્ય થાય છે. તેથી હંમેશા આપણું હૃદય ભાવભીનું રાખવું ભાવ નહીં હોય તો માણસ લાગણી અને અને નકારાત્મક વલણનો બની જાય છે સામાજિક જીવનમાં કોઈની સાથે સંબંધો પારિવારિક જીવન વ્યવહાર વગેરે માં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે. હૃદય બનાવવા માટે ભાવનાવાળા લોકો સાથે રહેવું જોઈએ કારણકે તેઓની વાણી,વર્તન અને વ્યવહારમાં ત્યાગ હોય, દરેક ક્ષણે ભાવ વ્યક્ત થતો હોય છે તેના થકી આપણામાં રહેલા દુર્ગુણો દૂર થાય છે જો ક્રોધી વ્યક્તિ સાથે સંગત હોય તો માણસ ક્રોધી બને લોભી સાથે અથવા કામીસાથે રહેતા હોય તો તેના જેવું જીવન બને છે. બાલકૃષ્ણ સ્વામી, નિર્ગુણ સ્વામી વગેરે સંતો પ્રસંગિક કર્યું હતું. 5000થી વધારે લોકોએ ભોજન પ્રસાદ લીધોસ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ જ મહત્વ છે વર્ષો પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથે 60 મણ રીંગણાના શાકનો વઘાર કરી ભક્તોને ભોજન પીરસ્યું હતું ત્યારથી આ પથ્થરની પરંપરા શરૂ થઈ છે. આ વર્ષનો પ્રથમ શાકોત્સવ સતધામ ખાતે યોજાયો હતો જેમાં 5000થી વધારે લોકોએ ભોજન પ્રસાદ અને સત્સંગનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:47 am

CMને આવેદન:રોડ-પાણી-ડ્રેનેજ-લાઇટનાં કામ માટેના આસિસ્ટન્ટની અધધ 422 પોસ્ટ ખાલી

પાલિકામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ (ટીએ)ની ભરતીમાં ઢીલી નીતિને પગલે છેલ્લાં 2 વર્ષથી પ્રતીક્ષા યાદી બનાવી હોવા છતાં 422 ઉમેદવાર બાકી જ રહી ગયાં છે. વળી આ યાદીની અવધિ પણ આગામી દિવસોમાં પૂર્ણ થશે. આ મુદ્દે મંડળે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. 359 ટીએને નિમણૂક અપાઈ હતી સાથે 547ની પ્રતીક્ષા યાદી બનાવી હતી પરંતુ હજી માત્ર 125 ની જ પસંદગી થઈ છે. પાલિકાની મહત્વની ગણાતી આ જગ્યા કે જે દરેક ટેક્નિકલ કામગીરીમાં સ્થળ પર સુપરવિઝન માટે મહત્ત્વની છે. ટીએની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 2018માં થઈ હતી ત્યાર બાદ 2023માં તે જાહેરાતની પરીક્ષા પણ લેવામાં આવી હતી. હજુ પણ પાલિકામાં દરેક વિભાગો, ઝોનમાં આ જગ્યાઓ ખાલી છે, જેથી રોડ-પાણી-ડ્રેનેજ-લાઇટની કામગીરી પર અસર પડી રહી છે. વિસ્તાર વધવા સાથે કામગીરી પણ વધી છે પરંતુ ભરતીમાં વધારો કરાયો નથી. પ્રતીક્ષા યાદીમાં હજુ અડધાથી વધુ નિમણૂંકની રાહ જોઈ રહ્યા છે. ભાસ્કર ઇનસાઇટમેઇન્ટેનન્સ પાછળ દર વર્ષે કરોડોનું આંધણ થાય છેઆ પોસ્ટની કામગીરી સ્થળ પર સુપરવિઝનની છે ત્યારે રસ્તા, પાણી, હાઇડ્રોલિક, ડ્રેનેજ, લાઇટ, ગાર્ડનના રિપેરિંગ પર સુપરવિઝન માટે સ્ટાફ જ ન હોવાથી છાસવારે મેઇન્ટેનન્સ પાછળ પાલિકાને દર વર્ષે કરોડોનું આંધણ થાય છે. શહેરની હદ પણ વધી છે છતાં ટેક્નિકલ આસિસ્ટન્ટની ભરતી કરી સુપરવિઝન સુદ્ગઢ કરવામાં તંત્ર વાહનકોને રસ નથી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:45 am

આગ લાગી:પરવટ ગામ નજીક મકાનમાં ગેસ લીકેજના કારણે આગ

પરવટ ગામ સંતોષ નગરમાં એક મકાનમાં ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. પરવટ ગામ સંતોષ નગર સોસાયટીમાં એક મકાનમાં પહેલા માળે બનાવેલી રૂમમાં રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થવાના કારણે આગ ભભૂકી ઉઠતા રૂમમાં હાજર પરિવારના સભ્યો બહાર દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:44 am

BLOને હેરાનગતિ:2.57 લાખ મતદારે ફોર્મ ભર્યાં, ઘણાં બૂથ 1 કલાક વહેલા બંધ થયાની બૂમ

મતદાર યાદી સુધારણા અંતર્ગત 15 અને 16 નવેમ્બરે તમામ મતદાન મથકો પર કેમ્પ યોજાયા હતા, જેમાં 15મીએ 1.17 લાખ તથા 16મીએ 1.40 લાખ મળી બે દિવસમાં 2.57 લાખ મતદારે ફોર્મ ભરીને જમા કરાવ્યાં હતાં. લોકો સરળતાથી ફોર્મ ભરી શકે, માહિતી મેળવી શકે તે માટે આ કેમ્પ યોજાયા હતા. જોકે અમુક બૂથ પર લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફોર્મ સ્વિકારવાનો સમય સવારે 9થી બપોરે 1 સુધીનો હતો, પરંતુ ઘણાં બૂથ પર બપોરે 12 વાગ્યાથી 12:30 વાગ્યા પછી ફોર્મ સ્વિકારવાનું બંધ કરી દીધું હતું. અમુક બૂથ પર વધારે ભીડ હોવાથી બીએલઓ સરખી માહિતી આપી શક્યા ન હતા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ બીએલઓને ફોર્મ સબમીટ કરવા જે એપ્લિકેશનમાં કામ કરવાનું હોય છે તે એપ્લિકેશનનું સર્વર સતત ડાઉન રહેવાને કારણે બીએલઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. 22-23 નવેમ્બરે પણ બૂથ પર વિશેષ કેમ્પ યોજાશે22 અને 23 નવેમ્બરે પણ તમામ બી.એલ.ઓ. સંબંધિત બૂથ પર સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી હાજર રહેશે. મતદારો મતદાન મથકની મુલાકાત લઇ બૂથ પર હાજર રહેલા બી.એલ.ઓ પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન BLOની મદદથી મેપિંગ, લિન્કિંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:44 am

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા ફૂડવિભાગની અટકાયત:ખાણીપીણીની દુકાનોના કારીગરોની મેડિકલ, શારીરિક સ્વચ્છતાની ચકાસણી, 86ને નોટિસ

ધારાસભ્ય કાનાણીએ અગાઉ ભેળસેળનો મુદ્દો ઉઠાવીને કાયદાને કડક બનાવવા, ભેળસેળિયાઓ પર કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી, જેથી આરોગ્ય વિભાગે દુકાનોના કારીગરોના મેડિકલ સર્ટિ, શારીરિક સ્વચ્છતાની ચકાસણી, હાઇજિન અંગે ઝુંબેશ શરૂ કરી 86 સંસ્થાને નોટિસ ફટકારી છે. 5 દિવસમાં 41 સંસ્થામાંથી 28 નમૂના લઈ 797 કિલોનો જથ્થો સીઝ, 54 કિલો પનીરનો નાશ કરાયો છે. ભાસ્કર ઇનસાઈટલારી-રેસ્ટોરાંનો 120 કિલો જથ્થો નાશ કરાયોપાણી, ગ્રીસ ચેમ્બર્સ, કર્મચારીઓના મેડિકલ સર્ટિ, શારીરિક સ્વચ્છતા, ટોપી-હાથમોજાં-એપ્રન, કચરાની વ્યવસ્થા કરવા જાગૃતિના પાઠ ભણાવાયા હતા. પાણી-પૂરી, ચાઇનીઝ, પાંઉ-ભાજી સહિતની દુકાનો, રેસ્ટોરાં જેવી 375 સંસ્થાની તપાસ કરી ખાદ્ય પદાર્થોના 79 નમૂના લેવાયા હતા તેમજ 86 સંસ્થાઓને આરોગ્યલક્ષી ખામી જણાતાં નોટિસ ફટકારાઈ હતી. 120 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 1.31 લાખનો ખર્ચ વસૂલાયો હતો. દુકાનોમાં પનીર, ચીઝ એનાલોગ, ઘી જેવી દૂધની બનાવટોમાં મિલાવટ વધુ10થી 15 નવેમ્બર સુધીમાં પનીર, ચીઝ એનાલોગ, ઘી, મરી-મસાલાનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી કુલ 41 સંસ્થાની સ્થળ તપાસ કરી પનીરના 16, ચીઝ એનાલોગના 3, ઘીના 10, મરી-મસાલાના 28 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લૅબોરેટરી મોકલી અપાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી એકટ-2006 મુજબ કાર્યવાહી કરાશે. જ્યારે દૂધની બનાવટોમાં પનીર, ચીઝ એનાલોગ, ઘીનો કુલ 797 કિલોનો જથ્થો જેની કિંમત આશરે 2 લાખથી વધુનો શંકાસ્પદ જણાતો જથ્થો સીઝ કરી 54 કિલો અખાદ્ય પનીરના જથ્થાનો નાશ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:41 am

ભાસ્કર એક્સક્લુસિવ:GST સુપ્રિન્ટેન્ડન્ટ હવે 20 લાખથી ઓછા, એડિ. કમિશનર 2 કરોડથી વધુના કેસમાં નોટિસો બજવશે

GSTમાં નોટિસો આપવામાં સુધારા વધારા કરાયા છે, જેમાં હવે સુપ્રિન્ટેન્ડન્ટ રૂપિયા 20 લાખ સુધીની નોટિસો ફટકારી શકશે. બોગસ બિલિંગ સામે કડક કાર્યવાહીના સંદર્ભમાં આ ફેરફાર કરાયા છે. સૌથી મોટો ફેરફર પેનલ્ટીની લિમિટ અંગેનો છે જે પહેલીવાર નક્કી કરી દેવામા આવી છે જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ પહેલવાર નોટિસ આપશે. નવા સુધારા મુજબ 122ની પેનલ્ટી વધી જાય તો ઓફિસર અલગ નોટિસ આપી શકે છે. જેમાં બે અલગ-અલગ ટેક્સ 74-એ અને પેનલ્ટી 122ની નોટિસ ઇશ્યુ ખરી શકશે. જે અગાઉ એક જ નોટિસમાં કલમ 74માં ટેક્સ અને 122 આપવામાં આવતી હતી. જે રુલ 142 મુજબ હતુ. અલબત્ત, અગાઉ જે નોટિસો ઇશ્યુ થઈ ગઈ છે તેમાં ફેરફાર આવશે કે કેમ એ અંગે હાલ શંકા-કુશંકા છે. ઉપરાંત એવુ પણ બને કે એક જ કેસમા બે અધિકારીઓ જુદી-જુદી નોટિસ આપશે. જેમાં એક ડિમાન્ડ અને બીજી પેનલ્ટીની હશે. આકારણી-ડિમાન્ડમાં ફેરફારવર્ષ 2024-25થી આકારણી નોટિસો અને ડિમાન્ડ ઓર્ડર માટે કલમ-74એ લાગુ પડશે. જે અગાઉ વર્ષ 2023-24 સુધી કલમ 73-74ની કલમ લાગુ થતી હતી, જે અન્વયે CBICએ કલમ 74-એના ટેક્સ અને 122ની પેનલ્ટી પ્રોપર ઓફિસરને નક્કી કરી છે. 122 માટે પેનલ્ટીની લિમિટ ન હતી. > કૃણાલ આઇસ્ક્રીવાલા, એડવોકેટ નોટિસ આ રીતે અપાશે

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:39 am

કેન્દ્રના પરિપત્રથી ઉદ્યોગકારો સામે નવી મુશ્કેલી:ઉદ્યોગોમાં 1 જૂનથી દેશી સોલાર પેનલ જ માન્ય, 1 MW પર 80 લાખનો ફટકો

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છે. ટેક્સટાઇલ, ડાયમંડ, ઇજનેરિંગ જેવા સેક્ટરમાં ઉદ્યોગોએ પોતાની ખાલી જમીન પર ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પેનલ સ્થાપિત કરી વિજળી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. હાલ એક યુનિટ સોલાર વિજળીનો ખર્ચ પરંપરાગત વિજળીની તુલનાએ એક તૃતિયાંશ જેટલો ઓછો પડે છે, જેના કારણે સોલાર પ્રોજેક્ટની માંગ સતત વધી રહી છે. પરંતુ ડિસેમ્બર મહિના બાદ આ માંગ અચાનક ઘટી શકે તેવી સંભાવના ઊભી થઈ છે. કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ 1 જૂન 2026 પછી ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ બનાવવા માટે માત્ર દેશમાં બનેલા સોલાર સેલથી બનેલી પેનલ જ ઉપયોગ કરી શકાશે. આ નિયમ ઉદ્યોગ પર સીધી અસર કરે એવી સ્થિતિ છે. હાલના બજાર ભાવ મુજબ ભારતમાં બનેલા સેલ ધરાવતી 1 મેગાવોટ સોલાર પેનલની કિંમત લગભગ 2.40 કરોડ રૂપિયાની આવે છે, જ્યારે આયાત થતી પેનલ 1.40 કરોડમાં મળી આવે છે. એટલે કે દર મેગાવોટ પર સીધો 80 લાખ રૂપિયાનોનો ખર્ચ વધે છે. ઉદ્યોગકારો માટે આ વધારાનો ખર્ચ ખુબજ મોટો ગણાય છે, ખાસ કરીને એવા સમયમાં જ્યારે ઉત્પાદન ખર્ચ ઘટાડવું તેમની મુખ્ય જરૂરિયાત છે. આટલો મોટો ભાવ તફાવત ઉદ્યોગકારોને નવા પ્રોજેક્ટ શરૂ કરવા પ્રોત્સાહિત નહીં કરે. તેથી આવતા ડિસેમ્બરથી જ ઉદ્યોગકારો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ નાંખવાનું બંધ કરી દે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા ઉદ્યોગોમાં ચાલી રહેલી પ્લાનિંગ પણ હાલ હાલત મુજબ અટકવાની શક્યતા છે. ખાનગી એજન્સીઓને પણ છૂટ આપવા માટે રજૂઆતસરકારી કોન્ટ્રાક્ટરોને એવી છૂટ આપવામાં આવી છે કે, 1 જૂન પહેલાં કોન્ટ્રાક્ટ થઈ ગયો હશે તો તેઓ 1 જૂન બાદ આયાતી સોલાર પેનલથી ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પેનલ નાંખી શકશે. જ્યારે ખાનગી એજન્સીઓને આવી છૂટ આપાવમાં આવી નથી. જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય રિન્યુએબલ એનર્જી સેક્રેટરીને રજૂઆત કરી ખાનગી એજન્સીઓને પણ છૂટ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. દેશમાં સોલાર સેલનું ઉત્પાદન ઓછું ને ભાવ ખુબ જ ઊંચાચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલે કહ્યું હતું કે, ‘સોલાર વીજળીનો વપરાશ વધારીને જ ચીને પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડ્યો જેથી કરીને આખા વિશ્વના બજારોમાં પોતાને ત્યાં બનતો માલ સસ્તા ભાવે વેચી શકાય. આપણે આવું કરવાને બદલે ઉત્પાદન ખર્ચ નહીં ઘટે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. એક તો દેશમાં સોલાર સેલનું ઉત્પાદન ઓછું છે અને ઉપરથી કંપનીઓના ભાવ ખુબ જ ઊંચા હોય છે, જેથી સ્થાનિક પેનલો હાલમાં મેગાવોટ દીઠ 80 લાખથી વધારે મોંઘી પડે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:37 am

સિટી એન્કર:શહેરનાં નવાં 238 સ્થળ પર 1460 મળી 356 સ્થળે 2260 કેમેરા લાગી ગયા, હવે CMO-DGP પણ લાઇવ મોનિટરિંગ કરી શકશે

શહેરને વધુ સુરક્ષિત બનાવવા 238 સ્થળે નવા 1460 CCTV કેમેરા માટે ‘નેત્રમ’ પ્રોજેક્ટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સોફ્ટવેર અપગ્રેડ થતાં ડીજીપી ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ લાઈવ સુપરવિઝન થઈ શકશે. શહેરમાં 356 સ્થળે 2260 કેમેરા લાગ્યા છે. અઠવાના પોલીસ ભવનમાંથી લો એન્ડ ઓર્ડર, ડિટેકશન, ધાર્મિક યાત્રા-જુલુસ અને વીવીઆઈપી મૂવમેન્ટનું મોનિટરીંગ થાય છે. ફેસ ડિટેક્શનથી મિસિંગ, નાસતા ફરતા તેમજ રીઢા ગુનેગારો દેખાય તો તરત જ એલર્ટ કરે છે. ANPR કેમેરાથી કોઈપણ વાહનની નંબર પ્લેટ પકડાય છે. એક વર્ષમાં 220 ગુના ઉકેલી શકાયા ફેઝ-2ના 1460 કેમેરાની કામગીરી 997 બોડીવોર્ન કેમેરાનું લાઇવ મોનિટરિંગ થાય છેસુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બોડીવોર્ન કેમેરા કર્મચારીઓને આપવામાં આવેલા છે. આવા ટોટલ 997 બોડીવોર્ન કેમેરાનું લાઇવ મોનિટરિંગ પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:34 am

એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગની ટીમનો દરોડો:જીવરાજ પાર્કમાં કેન્વાસ સ્પામાં દરોડો, 4 ઝડપાયા

રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં સિટી ક્લાસિક કોમ્પ્લેક્સના બીજા માળે કેન્વાસ સ્પામાં છોકરીઓ રાખી સ્પા મસાજના નામે દેહ વિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચાર શખ્સને ઝડપી લીધા હતા. કેન્વાસ સ્પામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી રેડ પાડવામાં આવી હતી. પોલીસ તપાસમાં સ્પામાં એન્ટ્રી ફી તરીકે રૂ.1000 લઇ ભોગ બનનાર ગ્રાહકો પાસેથી શરીરસંબંધના રૂ.2000થી 5000 સુધી લેતા હતા અને તેમાંથી રૂ.1000 સ્પા સંચાલકને આપતા હતા. એક ગ્રાહકે રૂ.5000 આપી શરીરસંબંધ બાંધ્યો હતો અને બીજા ગ્રાહકને શરીરસંબંધની હા પાડી એક્સ્ટ્રા સર્વિસ માટે રૂ.2000 નક્કી કર્યા હતા. પોલીસે સ્પામાંથી મિલન દેવેન્દ્ર દવે (રે. પિતૃકૃપા, અજય ટેનામેન્ટ, બ્લોક નં.બી /16, યશ કોમ્પ્લેક્સ પાછળ, 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ, અનિશા જય સોલંકી(રે.રાષ્ટ્રીય શાળા, યાજ્ઞિક રોડ), ગિરીશકુમાર મીણા(રે.મોહનલાલ મીણા ઇન્ટાલી ખેડા, પારોડા, ઉદયપુર, રાજસ્થાન) અને નિખિલ જમીન રાબડિયાની ધરપકડ કરી હતી. પોલીસે સ્પામાંથી ચાર મોબાઇલ સહિત રૂ.33350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્પાના માલિક વિજય નાજા ભૂંડિયા અને થાનકી પાર્થ કિશોર (રે.સિદ્ધિ,-5 એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.B/204 શેઠનગર પાછળ, જામનગર રોડ) હાથ ન લાગતા તેમની શોધખોળ આદરી છે. આ સ્પામાંથી પંજાબ રાજ્યની એક, દિલ્હીની એક, હરિયાણાની એક, ગુજરાતની એક ભોગ બનનાર મળી આવતા તેમને દેહવ્યાપારની પ્રવૃત્તિ ન કરવા સમજાવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:22 am

રાજકોટમાં આપઘાતના બે બનાવ:વૃદ્ધે એસિડ ગટગટાવીને, યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

શહેરમાં શનિવારે આપઘાતના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં કોઠારિયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતી યુવતીએ સાંઇબાબા સર્કલ પાસે ગળાફાંસો ખાઇ અને ન્યૂ ગાંધી સોસાયટીમાં રહેતા વૃદ્ધે એસિડ ગટગટાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. નાનામવા રોડ પર ન્યૂ ગાંધી સોસાયટી શેરી નં.8માં રહેતા કિશોરભાઇ ભૂરાભાઇ પાંભર નામના 62 વર્ષના ઉદ્યોગપતિ વૃદ્ધે શનિવારે પોતાના ઘેર અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેમના પુત્રે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી બ્લડપ્રેસર અને ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાતા હોવાથી આપઘાત કર્યો છે. જોકે પોલીસે કારણ ગળે ન ઉતરતા વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં કોઠારિયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતી ડોલીબેન આચાર્ય નામની 24 વર્ષની યુવતીએ સાંઇબાબા સર્કલ પાસે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ડોલીબેનના લગ્ન અમિત અગ્રાવત નામના યુવાન સાથે થયા હતા અને બન્ને વચ્ચે મનમેળ ન હોવાથી છૂટાછેડાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને ડોલીબેન ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હાલમાં તેમના પરિવારજનો આવી ગયા છે અને તેઓ અંતિમક્રિયામાં હોય તેમની પૂછપરછ બાદ આત્મહત્યાનું કારણ બહાર આવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:22 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:હનુમાનમઢી ચોકમાં જાહેર શૌચાલય પાસે ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ્

શહેરના ટ્રાફિકથી ધમધમતા હનુમાનમઢી ચોકમાં મહાનગરપાલિકાએ બનાવેલું જાહેર શૌચાલય આવેલું છે. ત્યાં પૂરતી સફાઇના અભાવે ગંદકીનું સામ્રાજ્ય છવાતું હોય અને અસહ્ય દુર્ગંધ ફેલાતી હોય આસપાસના વેપારીઓ અને ત્યાંથી પસાર થતાં લોકો ત્રાહિમામ્ પોકારી જાય છે. તેમજ આ ગંદકી અને દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હનુમાનમઢી ચોકમાંથી દરરોજ 50થી 60 હજાર વાહચાલકો પસાર થતા હોય છે અને ચાર ચોક હોવાથી સાઇડ બંધ હોય ત્યારે શૌચાલય પાસે ઊભા રહેતા વાહનચાલકોની હાલત ભારે કફોડી બની જાય છે. વેપારીઓએ જણાવ્યા પ્રમાણે હનુમાનમઢી ચોક પાસે આવેલા આ શૌચાલયની યોગ્ય સફાઇ થતી ન હોવાથી માથાં ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાતી હોય છે. શૌચાલય પાસેથી પસાર થતાં વાહનચાલકો બે મિનિટ પણ નથી ઊભા રહી શકતા ત્યારે અમારે તો આખો દિવસ અહીં વેપાર કરવાનો હોય છે. આ શૌચાલયના કારણે ગ્રાહકો પણ શક્ય હોય ત્યાં સુધી અમારે ત્યાં ખરીદી કરવા આવવાનું ટાળી રહ્યા છે અને તેના પરિણામે ધંધામાં પણ ફટકો પડી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ અહીંયા દારૂડિયાઓ દારૂ પીને કોથળી ફેંકીને ચાલ્યા જાય છે. તેમજ અમુક બહારથી આવતા લોકો કચરા પણ અહીં ફેંકી ચાલ્યા જાય છે. શૌચાલયના કારણે રોગચાળો ફેલાવાની પૂરતી ભીતિ રહી છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે અમુક લોકો ઊભા રહ્યા બાદ શૌચાલયની ગંદકી અને દુર્ગંધના કારણે સિગ્નલ બંધ હોવા છતાં પણ વાહન લઇને ચાલ્યા જતા હોવાનું જોવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:21 am

હર્ષ સંઘવીએ કાગવડ ખોડલધામ મંદિરે દર્શન કર્યા:મા ખોડલના આ ધામ ખાતે રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એકસાથે અનુભવી શકાય છે: નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રવિવારે ખોડલધામ, કાગવડ ખાતે મા ખોડલના દર્શન કર્યા હતા. મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા તેમણે ભાવપૂર્વક પૂજન–અર્ચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મા ખોડલના આ ધામ ખાતે રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એકસાથે અનુભવી શકાય છે. ધર્મશક્તિના ધામમાં રાષ્ટ્રશક્તિને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ માટે વૈદિક લગ્ન શરૂ કરવામાં આવ્યા છે તે માટે નરેશભાઈ અને તેમની ટીમે કરેલા પ્રયાસો સરાહનીય છે. વૈદિક પદ્ધતિ ખોટા ખર્ચ અને દેખાડા વગરની હોવાથી અને આર્થિક રીતે પરવડે તેવી હોવાથી દરેક સમાજે અપનાવવી જોઈએ. મા ખોડલ સૌ ખેડૂતોને ફરી બેઠા થવાની હિંમત અને શક્તિ આપે, સૌનું કલ્યાણ થાય, સૌ નાગરિકોની મનોકામના અને સૌ યુવાનોના સપના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરું છું. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મા ખોડલના દર્શન કરીને રાજ્યના પ્રજાજનો અને ખાસ તો કમોસમી વરસાદના કારણે હેરાન થયેલા ખેડૂતોના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. આ ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. મુલાકાતના આરંભે નાયબ મુખ્યમંત્રી ખોડલધામ ખાતે પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પોતાના સરળ અને મિલનસાર સ્વભાવનો અનુભવ કરાવતા સંઘવીએ મંદિર પરિસરની મુલાકાત લેતા દર્શનાર્થીઓને મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ તકે ધારાસભ્ય રમેશ ટીલાળા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:20 am

શીતલહેરનો પ્રારંભ:કચ્છનું નલિયા 12.4 °C સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ

હવામાન વિભાગના બુલેટિન મુજબ, ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હાલમાં સૂકું હવામાન પ્રવર્તી રહ્યું છે. રાજ્યના નીચલા સ્તરે ઉત્તરપૂર્વીયથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. રાત્રિના તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે, જેમાં કચ્છ પ્રદેશના નલિયા શહેરે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસો સૂકું હવામાન રહેવાની સંભાવના છે. ન્યૂનતમ તાપમાનના અવલોકનોના આધારે, નલિયા સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન (12.4 C) નોંધાવીને ઠંડીમાં પ્રથમ સ્થાને રહ્યું હતું. જ્યારે કચ્છનું બીજું મુખ્ય શહેર ભુજનું ન્યૂનતમ તાપમાન 16.2 C નોંધાયું હતું. આ દર્શાવે છે કે કચ્છ પ્રદેશમાં પણ ઠંડીની તીવ્રતામાં ઘણો તફાવત જોવા મળ્યો હતો, જ્યાં નલિયા, ભુજ કરતાં લગભગ ૪ ડિગ્રી વધુ ઠંડું રહ્યું હતું. કંડલા એરપોર્ટ 13.5 C ન્યૂનતમ તાપમાન સાથે રાજ્યમાં ઠંડીની દ્રષ્ટિએ બીજું મહત્વનું સ્થળ રહ્યું હતું. ભુજ અને નલિયા બંનેમાં મહત્તમ તાપમાન 32.0 C નોંધાયું હતું. દમણ 32.6 C સાથે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતું સ્થળ રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસો સૂકું હવામાન રહેવાની સંભાવના છે. આગામી 7 દિવસો દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:19 am

ભાસ્કર એક્સક્લુસિવ:ગ્રાન્ટેડ લો કોલેજોમાં વન પ્લસ એઇટ અધ્યાપકો માટે ટૂંક સમયમાં જ મંજૂરી

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લો કોલેજોમાં વન પ્લસ એઇટનો સ્ટાફ ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રમાણે શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડવામાં આવે તે માટે ગ્રાન્ટેડ લો કોલેજોના આચાર્યો દ્વારા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે વન પ્લસ એઇટનો પરિપત્ર કરવા માગણી કરાઇ હતી. રાજ્યની વિવિધ ગ્રાન્ટેડ લો કોલેજોના આચાર્ય ગત 11મીને મંગળવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળ્યા હતા અને તમામ લો કોલેજોમાં 1+8 ના પરિપત્રને તાત્કાલિક મંજૂરી આપવા રજૂઆત કરી હતી. જેના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક આ બાબતે નાણાં વિભાગ અને અન્ય સંબંધિત વિભાગના સચિવો પાસેથી માહિતી માગી તુરંત પગલાં લેવા ખાતરી આપી હતી અને નાણાં વિભાગના અધિકારીઓને રૂબરૂ મળવા આચાર્યોને સૂચન કર્યું હતું. જેના પગલે આચાર્યો નાણાં વિભાગના નાયબ સચિવ નિર્મલ જોશીને મળ્યા હતા અને તેઓએ આ બાબતે તાત્કાલિક સચિવ સાથે મિટિંગ કરી નિર્ણયની ખાતરી આપી હતી. ત્યારબાદ આ સંદર્ભે આચાર્યો દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનર સાથે બેઠક યોજવામાં આવતા તેઓએ પણ ટૂંક સમયમાં 1+8નો પરિપત્ર કરવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ટેડ લો કોલેજોમાં ઓછા સ્ટાફના મુદ્દે બીસીઆઇ દ્વારા આકરા એક્શન લેવામાં આવ્યા હતા અને બે વર્ષ સુધી વિદ્યાર્થીઓના એડમિશન પણ અટકાવ્યા હતા. રાજ્યની 24 લો કોલેજ પ્રિન્સિપાલ વિહોણીરાજ્યમાં 31 જેટલી ગ્રાન્ટેડ અને સરકારી લો કોલેજ આવેલી છે. જેમાં 1 સરકારી લો કોલેજ અને 6 ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રિન્સિપાલની કાયમી જગ્યા ભરેલી છે જ્યારે 24 કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલથી ચલાવવામાં આવી રહી છે. જેમાં 2 સરકારી અને 22 ગ્રાન્ટેડ લો કોલેજનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:18 am

જિલ્લાના પુસ્તકાલયોના ગ્રંથપાલોના સેમિનારનું ભુજમાં આયોજન:દરેક શિક્ષક પાસે પોતાનું સમૃદ્ધ ગ્રંથાલય જોઈએ

ભુજની આર. આર. લાલન કોલેજમાં વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, વિઆરટીઆઈ, માંડવી તથા લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પુસ્તકાલયોના ગ્રંથપાલોના સેમિનારનું કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આયોજન કરાયું હતું. દીપ પ્રાગટ્ય બાદ પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય ઠાકરે આયોજનની વિગતો આપી હતી. કચ્છ યુનિ. કુલપતિ ડો.મોહન પટેલે ગ્રંથપાલની ભૂમિકાને સમજાવતા દરેક શિક્ષક પાસે પોતાનું સમૃદ્ધ ગ્રંથાલય હોવું જોઈએ. બાદમાં રાજ્યના ગ્રંથાલય વિભાગના નાયબ નિયામક અને મુખ્ય મહેમાન એલ.એન.મોઢે રાજ્ય સરકાર દ્વારા ગ્રંથાલયોના વિકાસ માટે હાથ ધરાતી યોજનાઓની માહિતી આપતા કહ્યું કે, રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલયોને દર વર્ષે આપવામાં આવતો મોતીભાઈ અમીન એવોર્ડ ચાલુ વર્ષે વિકલાંક ગ્રંથાલયોની શ્રેણીમાં માધાપરના અંધજન મંડળના પુસ્તકાલય, ગ્રામ્ય ગ્રંથાલયની શ્રેણીમાં બિદડાના ગ્રંથાલયને તથા તેના ગ્રંથપાલને આ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. વિઆરટીઆઈના પ્રકાશન અધિકારી ગાોરધન પટેલે આયોજક ત્રણેય સંસ્થાઓના ઉપક્રમે શ્રેષ્ઠ વાચક સ્પર્ધાની જાહેરાત કરી હતી. લાલન કોલેજના પ્રાચાર્ય ડો.છત્રપાલસિંહ ઝાલાએ કોલેજને આ સેમિનારમાં સહભાગી બનાવવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ અગાઉ પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે ભવિષ્યમાં આવા એકથી વધારે દિવસોના સેમિનાર તથા કાર્યશાળાના આયોજનની ખાત્રી આપી હતી. એકસત્ર દરમ્યાન ઉપસ્થિત ગ્રંથપાલોએ લાલન કોલેજના ગ્રંથાલયની મુલાકાત લઈ તેના વિવિધ વિભાગો, પુસ્તક ગોઠવણી, ડીઝીટલાઈજેશન અને તેની વ્યવસ્થાથી માહિતગાર થયા હતા. આ અવસરે લેખક હરેશ ધોળકિયા તથા કોલેજના ગ્રંથપાલ વિજય બારોટે તજજ્ઞ તરીકે વકતવ્યો આપી ગંથપાલોનું માર્ગદર્શન કર્યું હતું. સમારંભ તથા સેમિનારનું સંચાલન મનન ઠકકરે કર્યું હતું. અંતિમ સત્રમાં પ્રશ્નોતરીમાં વિવિધ ગ્રંથપાલોએ ભાગ લીધો હતો. આભારવિધિ મંત્રી નરેશ અંતાણીએ કરી હતી. પુસ્તકાલયના પીયુષ પટ્ટણી, રેશમાબેન ઝવેરી, મલ્હાર બૂચ, ઝવેરીલાલ સોનેજી, મહેમાનો તથા વકતાઓના સન્માનમાં જોડાયા હતા. આ અવસરે જોરાવસિંહ રાઠોડ, અજિત માનસતા, રમિલાબેન મહેતા, નવીન વ્યાસ, ગૌતમ જોષી, ડો. મહેન્દ્ર ઠક્કર સહિત રસિકો તથા જિલ્લાના છેવાડાના વિસ્તારો સહિતના ગ્રંથપાલ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આયોજનમાં ડૉ.મિહીર વોરા, જાગૃતિ વકીલ, પુસ્તકાલયના ગ્રંથપાલ અવની ગેડીયા વગેરે સહયોગી બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:18 am

342.53 ગ્રામ સોનું લઇ શખ્સ પલાયન:રાજકોટના 4 સોની વેપારીને રાજસ્થાની શખ્સે રૂ.42.64 લાખનો ધુંબો મારી દીધો

રાજકોટના ચાર સોની વેપારી પાસેથી રાજસ્થાની શખ્સે સોનું ખરીદી રૂ.42.64 નહીં ચૂકવ્યાની ફરિયાદ નોંધાઈ છે. સોનીબજારમાં સુવર્ણ કોમ્પ્લેક્સમાં દુકાન નં.16 ધરાવતા દેવેન્દ્રભાઇ રાધનપુરા નામના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે મૂળ રાજસ્થાનના જયપુરના 205 કિસાનબાગ કચ્છી બસ્તીમાં રહેતા અને રાજકોટમાં પેલેસ રોડ પર રાજમંદિર કોલ્ડ્રીંક્સ પાસે આવેલા આકાર પેલેસ નામના એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા ઓમદત્ત મોતીલાલ જાંગીડનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી અગાઉ ફરિયાદી પાસેથી અવારનવાર સોનું ખરીદતો હતો, અને વિશ્વાસ કેળવ્યો હતો. ગત તા.3 ઓક્ટોબરે ફરિયાદીએ આરોપી ઓમદત્તને 46 ગ્રામ 24 કેરેટ સોનું આપ્યું હતું અને તા.9મીએ 45 ગ્રામ સોનું આપ્યું હતું અને ત્યારબાદ તા.12મીએ 40 ગ્રામ સોનું આપ્યું હતું. આરોપીએ રૂ.6.37 લાખનું 131 ગ્રામ સોનાનું ત્રણેય પેમેન્ટ ચેકથી કરશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ પિતા-પુત્રએ ફોન બંધ કરી દેતા ફરિયાદીએ તપાસ કરતાં આરોપી સોની વેપારી અજયભાઇ માંડલિયા (રે.શ્રીજી કૃપા, 30, કરણપરા) પાસેથી રૂ.12.30 લાખનું 98.390 ગ્રામ સોનું અને સંજયભાઇ પાટડિયા(રે.વાણિયાવાડી શેરી નં.6, નવરત્ન સંકુલ) પાસેથી 75 ગ્રામ સોનું લઇ ગયો હતો. જેમાંથી 26 ગ્રામ સોનું પરત આપ્યું હતું. જ્યારે રૂ.5.80 લાખનું 49 ગ્રામ સોનું લેવાનું બાકી છે. આ સિવાય સોનીબજારમાં કામ કરતાં ઋત્વિકભાઇ ભૂવા (રે.20 ગુંદાવાડી) પાસેથી રૂ.8,17,500નું 64.140 ગ્રામ સોનું લઇ ગયો હતો. આમ કુલ ચાર વેપારી પાસેથી રૂ.42,64,500નું 342.53 ગ્રામ સોનું લઇ જઇ આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:15 am

ભાસ્કર એક્સક્લુસિવ:ફેબ્રુઆરી અંતમાં બોર્ડની પરીક્ષા, શિક્ષકો ‘સર’માં વ્યસ્ત, 20 હજાર વિદ્યાર્થીની તૈયારી અસ્તવ્યસ્ત

રાજકોટ સહિત રાજ્યભરમાં SIRની કામગીરી ચાલી રહી છે અને તેમાં રાજકોટ જિલ્લામાં કુલ 6000થી વધુ સરકારી કર્મચારીઓના ઓર્ડર કરાયા છે જેમાં સૌથી મોટી સંખ્યા શિક્ષકોની છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ચૂંટણી વિભાગે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલના 60 ટકાથી વધુ શિક્ષકોને મતદારયાદી સુધારણાની કામગીરીમાં જોતરી દેતા ધો.10 અને 12ના 20 હજાર જેટલા ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની તૈયારી ગંભીર પડકાર બની ગઇ છે. બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઇ રહી છે ત્યારે આ 20 હજાર વિદ્યાર્થીઓનો બાકીનો 40 ટકા અભ્યાસક્રમ પૂર્ણ કોણ કરાવશે, રિવિઝન કોણ કરાવશે અનેપ્રેક્ટિસ પરીક્ષા કોણ લેશે તેવો સળગતો સવાલ ઉઠ્યો છે. રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ ડો.શૈલેષ સોજીત્રાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો.10 અને 12ના 60 ટકા શિક્ષકોને મતદારયાદી સુધારણાની કામગીરીમાં સરકારે લઇ લીધા છે જેમાં ગણિત, વિજ્ઞાન, એકાઉન્ટ, અંગ્રેજી જેવા વિષયોના શિક્ષકોનો સમાવેશ થાય છે. જે મુદ્દે અમે અનેક વખત રજૂઆતો કરી છે છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. અમે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સવારે અભ્યાસ કાર્ય કરાવવા અને બપોર બાદ શિક્ષકો પાસે મતદારયાદીની કામગીરી કરાવવા પણ રજૂઆતો કરી છે, પરંતુ તે બાબતે કોઇ નિર્ણય આવ્યો નથી. રાજકોટ જિલ્લાની 225 જેટલી માધ્યમિક અને 70 જેટલી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં ધો.10 અને 12ના અંદાજે 10-10 હજાર વિદ્યાર્થીઓ મળી કુલ 20 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના બીજા સત્રનો સંપૂર્ણ કોર્સ હજુ બાકી છે. જો શિક્ષકો બીએલઓની કામગીરી કરશે તો આ કોર્સ પૂરો કોણ કરાવશે. મતદારયાદી સુધારણાની કામગીરીનું જેટલુ મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ વિદ્યાર્થીઓના શિક્ષણનું છે, પરંતુ હાલમાં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હોય ત્યારે શિક્ષકોને આ જવાબદારીમાંથી મુક્ત કરવા જોઇએ અને જરૂર પડ્યે વેકેશનમાં આ કામગીરી કરાવવી જોઇએ. પરિણામ બગડશે તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં એડમિશન ઘટશે, આગામી વર્ષમાં શિક્ષકો ફાજલ થશેરાજકોટ જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો જ બેસ્ટ ઓપ્શન છે. હવે જો તેનું પરિણામ નબળું આવશે તો વાલીઓ સરકારને નહીં, પરંતુ શિક્ષકોને પૂછશે અને તેના પરિણામે આવતા વર્ષે સ્કૂલના નબળા પરિણામો જોઇને વાલીઓ તે સ્કૂલમાં પોતાના બાળકો અભ્યાસ માટે નહીં મોકલે તો સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે અને તેના પરિણામે આગામી વર્ષે શિક્ષકો પણ મોટી સંખ્યામાં ફાજલ થવાની ભીતિ રહેલી છે. કોર્સ પૂર્ણ ન થવાથી વિદ્યાર્થી નાપાસ થયો તો જવાબદાર કોણ?રાજકોટ જિલ્લાની તમામ સ્કૂલમાંથી મતદારયાદી સુધારણા માટે 60 ટકા શિક્ષકો લઇ લેવામાં આવ્યા છે જેના પરિણામે તમામ સ્કૂલોમાં બીજી ટર્મમાં કરાવવામાં આવનાર 40 ટકા સિલેબસ હજુ બાકી છે તેમજ રિવિઝન અને પ્રેક્ટિસ પરીક્ષા પણ બાકી છે ત્યારે પૂરતી તૈયારીના અભાવે પરિવારના ભવિષ્યના આધારસ્તંભ સમાન ધો.10 અને 12ના ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ નાપાસ થશે તો જવાબદારી કોની રહેશે શિક્ષકની કે મતદારયાદીની કામગીરી સોંપનાર અધિકારીની કે પછી રાજ્ય સરકારની તેવા સવાલો ઊઠી રહ્યા છે. આ નિયમનો કરાયો છે ઉલાળિયોઅગાઉ રાજ્ય સરકારે જ પરિપત્ર કર્યો હતો કે, ધો.10 અને 12માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય અને મહત્ત્વના વિષયો ભણાવતા શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવી નહીં તે નિર્ણયનો આ વખતે ઉલાળિયો કરાયો છે. તેમજ જે શિક્ષકે 3 વર્ષ સુધી બીએલઓ તરીકે સેવા આપી હોય તેને ફરી બીએલઓની જવાબદારી ન સોંપવાના નિર્ણયનું પાલન ન કરાયાની પણ રાવ ઊઠી છે. આ નવો ફતવો : હાજરી પત્રકમાં બીએલઓની કામગીરી લખવુંબીએલઓની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોએ હાજરી પત્રકમાં બીએલઓની કામગીરીમાં રોકાયેલા તેમ લખવાનો નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે અને તે મુજબની સૂચના કેળવણી નિરીક્ષકોએ શાળાઓને આપી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:15 am

ફરિયાદ:નખત્રાણાની સગીરા પર દુષ્કર્મ આચરી ફોટો વાયરલ કરવાની ધમકી અપાઈ

નખત્રાણા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા સાથે ઇન્સ્ટાગ્રામથી મિત્રતા કેળવ્યા બાદ સુરેન્દ્રનગરના શખ્સે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો જે બાદ આરોપીએ પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રૂપિયા 4 હજાર પડાવી લીધા હતા અને સગીરાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી વધુ રૂપિયા 1.98 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર સગીરાના પિતાએ નખત્રાણા પોલીસ મથકે સુરેન્દ્રનગરના મોરજીધર ગામના આરોપી દીપ વાડીલાલ સોલંકી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ બે વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર રીક્વેસ્ટ મોકલી ફરિયાદીની સગીરવયની દીકરી સાથે મિત્રતા કેળવી હતી.જે બાદ વાતચીત કરી લગ્ન કરવાનું કહી પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન આરોપીએ નખત્રાણા વિસ્તારમાં આવી ફરિયાદીની દીકરી સાથે મરજી વિરુદ્ધ વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો. આરોપીએ ફરિયાદીની દીકરીના લગ્ન પોતાની સાથે કરાવી આપવા પડશે તેવું કહી સગીરાના પોતાની સાથે પાળેલા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ આરોપીએ ફરિયાદીના દીકરા સાથે પણ ધાક ધમકી કરી હતી અને સગીરા પાસેથી રૂપિયા 4 હજાર પડાવી લીધા હતા.આરોપીએ વધુ રૂપિયા પડાવવા ફરિયાદીના ભાણેજને સગીરાના બીભત્સ ફોટા મોકલાવ્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાનું કહી રૂપિયા 1.98 લાખની માંગણી કરી હતી. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ.એમ.મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપીએ સુરેન્દ્રનગરથી આવી અવાવરૂ જગ્યા પર સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હતો.જે મામલે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:10 am

ભાસ્કર બ્રેકિંગ:અધ્યાપકોના ફિક્સ પગારનો સમય ગણી CASનો લાભ આપવા આદેશ

રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા શનિવારે એક પરિપત્ર કરી બિન સરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપકોનો પાંચ વર્ષની ફિકસ પગારની સેવાઓનો સમયગાળો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવા માટે ગણતરીમાં લેવા આદેશ કર્યો છે. જેના પરિણામે રાજ્યની વિવિધ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બીએડ, લો સહિતની ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજાવતા 3000થી વધુ અધ્યાપકને સીધો ફાયદો થવાનો અંદાજ સેવાઇરહ્યો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ તા.15મીએ જારી કરેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, બિન સરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપકોને પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓનો સમયગાળો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવા માટે ગણતરીમાં લેવા માટે દરખાસ્ત રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં દરખાસ્ત રજૂ કરવા અંગેની ગાઇડલાઇન સામેલ છે. જે કોલેજો દ્વારા હજુસુધી દરખાસ્ત થયેલી નથી તેવી કોલેજોને તાત્કાલિક વિગતવાર દરખાસ્ત રજૂ કરવા જણાવીએ છીએ. જો કોઇ અધ્યાપકની દરખાસ્ત કોલેજ દ્વાર રજૂ ન થવાના કારણે ફરિયાદ કે રજૂઆત થશે તો તે ફરિયાદ કે રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે સંસ્થાના આચાર્યની રહેશે તેમ અંતમાં જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:10 am

સિટી એન્કર:દર શુક્રવારે જરૂરિયાતમંદોને ગાંઠિયા-જલેબીનો ફ્રી નાસ્તો

સામાન્ય રીતે ગાંઠિયાની એક ડિશ આરોગવી હોય તો 50 રૂપિયાથી વધુ ખર્ચ થઈ જાય છે ત્યારે રાજકોટમાં માનવીય અભિગમ ધરાવી દર શુક્રવારે સવારના સમયે શહેરના રૈયા સર્કલ પાસે આવેલા મીરાનગર ખાતેના બગીચામાં 150થી વધુ લોકોને ગરમાગરમ ગાંઠિયા, જલેબી, સંભારો, મરચાં અને ખાખરાની સાથે ચા પણ આપે છે. આમ તો વિનામૂલ્યે આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, પરંતુ કોઈ વ્યક્તિએ 10 રૂપિયા આપવા હોય તેની પાસેથી સ્વૈચ્છિક રીતે મેળવે છે. નાણા આપવા ફરજિયાત નથી. લોકો પ્રેમથી દસ રૂપિયા મૂકીને જાય છે અને હસતા મોઢે નાસ્તો આરોગે છે. આ સેવાકીય કાર્ય કરતાં રૂપેશભાઈ પારેખ એ જણાવ્યું હતું કે, આવું જ એક કાર્ય શહેરના નાનામવા રોડ પર થતું હતું. જ્યાં તેઓ સેવા આપવા જતા હતા. ત્યારબાદ તેઓને પણ પ્રેરણા મળી કે, આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ. અહીં બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના લોકોને નાસ્તો આપવામાં આવે છે. જેમાં આ કાર્ય કરવા પાછળનો હેતુ છે કે જરૂરિયાતમંદ લોકો કે વડીલો આવો નાસ્તો આરોગી નથી શકતા તેથી દરેક લોકો માટે આ સેવા પ્રવૃત્તિ કરાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દરેક લોકોને ગમે તેટલા ગાંઠિયા આરોગવા હોય તેઓ ત્યાં આરોગી શકશે, પરંતુ પાર્સલ કે ઘરે લઈ જવામાં આવતા નથી. વધુમાં ઉમેર્યું હતું કે, લોકોનો પણ સારો સાથ સહકાર મળી રહે છે તથા અહીંના પ્રમુખ રાજેન્દ્રસિંહ હાડાએ પોતાની જગ્યા આપી છે. એક શુક્રવારમાં 5500થી પણ વધુનો ખર્ચો થતો હોય છે જેમાં 10 કિલો ચણાનો લોટ, 6 કિલો જલેબી, અડધો ડબ્બો સિંગતેલ, 150 કપ ચા, મરચાં તથા ગાજર, પપૈયા કે બીટનો સંભારો સહિતની વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે. જેમાં ત્યાં સ્થળ ઉપર લાઈવ ગરમાગરમ ગાંઠિયા, સંભારો બનાવવામાં આવે છે, શુદ્ધ ઘીની ડ્રાયફ્રૂટ જલેબી ફરસાણની દુકાનમાંથી લેવામાં આવે છે. આ કાર્યમાં 15થી 20 લોકો કાર્યરત છે. સ્વચ્છતા અને વ્યવસ્થા પણ જળવાઈ છેગરમાગરમ નાસ્તાનો આસ્વાદ માણ્યો હોય તેવા યોગેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, અહીં માત્ર 10 રૂપિયામાં ગુણવત્તાસભર નાસ્તો મળે છે. તેમજ ગાંઠિયા તાજા અને કરકરા હોય છે જ્યારે જલેબી પણ શુદ્ધ ઘીની ડ્રાયફ્રૂટવાળી હોય છે. ચાનો સ્વાદ પણ લોકો ખાસ પસંદ કરે છે. સેવા કરતાં લોકો નાસ્તાની જગ્યાએ સ્વચ્છતા અને વ્યવસ્થા પણ જાળવે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:09 am

આર્થિક નુકસાની:માપર ગામના ખેડૂતની તૈયાર મગફળી અજાણ્યા ઇસમ દ્વારા સળગાવી દેવાઈ

માંડવી તાલુકાના માપર ગામની સીમમાં આવેલ ખેતરમાં તૈયાર થયેલો મગફળીનો પાક કોઈ અજાણ્યા ઇસમે રાત્રી દરમિયાન સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે.અસામાજિક તત્વની કરતુતથી ખેડૂતને નુકસાની થતા ગઢશીશા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે. ગઢશીશા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માપર ગામના રાહુલભાઈ માવજીભાઈ ડુંગરખીયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ કરી છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 15 નવેમ્બરણા રાત્રે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.માપર સીમમાં આવેલ સર્વે નંબર 90 અને 91 વાળી જમીનમાં મગફળીનું વાવેતર કરેલું હતું.જેને થ્રેસરથી કાઢવા માટે ખેતરની વચ્ચે ઢગલો કરીને રાખેલ હતી. એ દરમિયાન આરોપીએ ફરિયાદીના ખેતરમાં રાત્રી દરમિયાન પ્રવેશ કર્યો હતો અને તૈયાર થયેલી મગફળીના ઢગલાને આગ ચાંપી દીધી હતી.જેના કારણે મગફળી બળીને ખાખ થઇ ગઈ હતી.અસામાજિક તત્વની હરકતને કારણે ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.હાલ સમગ્ર મામલે ગઢશીશા પોલીસે ગુનો દાખલ કરવા સહીત આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:09 am

માંગણી:ભુજમાં સિટી બસ સેવા પુનઃ શરૂ કરી નાગરિકોની હાલાકી દૂર કરો

2001ના વિનાશક ભૂકંપ પછી ભુજ શહેરે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. આજે શહેર માત્ર જૂના ભુજ પૂરતું સીમિત નથી રહ્યું. નવા વિસ્તારો જેવા કે માધાપર, મિરઝાપર, ભારાપર સુધી હજારો આવાસ અને વ્યવસાયિક સંકુલો બની ગયા છે. આ નવા વિસ્તારોમાં લાખો લોકો વસવાટ કરે છે, પરંતુ તેમની પાસે અવરજવર માટે જાહેર પરિવહનની કોઈ સગવડ નથી. પરિણામે, સામાન્ય નાગરિકો, ખાસ કરીને સમાજના નબળા વર્ગો, ખાનગી ઓટો-રિક્ષાઓની મનસ્વી લૂંટનો ભોગ બની રહ્યા છે. રિક્ષાચાલકો દ્વારા લેવાતા ઊંચા અને અનિયંત્રિત ભાડાં મધ્યમવર્ગીય પરિવારોના માસિક બજેટને ખોરવી નાખે છે. દૈનિક મજૂરી કરતા લોકો, હોસ્પિટલ જતા સિનિયર સિટીજનો અને કોલેજ જતી વિદ્યાર્થિનીઓ માટે આ સ્થિતિ સૌથી વધુ પીડાદાયક છે. સિનિયર સિટીજનો માટે મુસાફરી કરવી મોંઘી અને જોખમી બની ગઈ છે. જ્યારે મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ માટે સસ્તી, સુરક્ષિત અને નિયમિત બસ સેવા જીવન જરૂરિયાત છે. આટલું મોટું શહેર હોવા છતાં, ભુજમાં તેનું અસ્તિત્વ ન હોવું શરમજનક છે. અમારી ભુજ નગરપાલિકા અને કલેક્ટર કચેરીને નમ્ર અરજ છે કે, તાત્કાલિક ધોરણે બસોની વ્યવસ્થા કરવામાં આવે. તંત્ર દ્વારા નવા વિકાસ પામેલા વિસ્તારોને આવરી લેતા પૂરતા રૂટ નક્કી કરીને આ સેવા જનતા માટે શરૂ કરવી જોઈએ. આ નિર્ણય માત્ર નાગરિકોને આર્થિક રાહત જ નહીં આપે, પણ શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ ઘટાડશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:05 am

મંડે પોઝિટીવ:પાવર વિઝન - 5 વર્ષમાં સૌરાષ્ટ્રમાં વીજમાંગ કેટલી વધશે તે પોર્ટલથી કહી શકાશે, 67.72 લાખ ગ્રાહકોના વીજ વપરાશનું મોનિટરિંગ થશે

રાજ્યના ઊર્જા વિભાગે ભવિષ્યના વીજ આયોજનને વૈજ્ઞાનિક અને ટેક્નોલોજી આધારિત બનાવવાની દિશામાં ક્રાંતિકારી પગલું ભર્યું છે. ઊર્જામંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ‘ઊર્જા સંવર્ધનમ’ નામના અદ્યતન વેબ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પીજીવીસીએલ સહિત ગુજરાતની સરકારી વીજકંપનીઓના 1.95 કરોડ ગ્રાહકોના વીજ વપરાશનું મોનિટરિંગ કરીને આગામી પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દરેક તાલુકા, પ્રદેશોમાં વીજમાંગમાં કેટલો વધારો થશે, તેનું ચોક્કસ અનુમાન (ફોરકાસ્ટ) લગાવી શકશે. આ પોર્ટલથી સૌરાષ્ટ્રના આશરે 67.72 લાખ વીજગ્રાહકના વીજ વપરાશનું સતત મોનિટરિંગ શક્ય બનશે. અત્યાર સુધી વીજમાંગના અંદાજો પરંપરાગત પદ્ધતિથી કરવામાં આવતા હતા, પરંતુ હવે દરેક સબસ્ટેશન, ફીડર, વીજલાઇન અને સબ ડિવિઝનનો ડેટા આ પોર્ટલમાં સંકલિત થતાં આયોજન વધુ વૈજ્ઞાનિક અને ચોક્સાઈભર્યું બનશે. આ પ્રોજેક્ટ દ્વારા, સરકારી વીજકંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ભારતની પ્રથમ સરકારી વીજકંપની બની છે જેણે આ પ્રકારનું ડેટા-આધારિત ફોરકાસ્ટિંગ પોર્ટલ તૈયાર કર્યું છે. ‘ઊર્જા સંવર્ધનમ’ પોર્ટલ લોન્ચ થવાથી વીજ ક્ષેત્રમાં પારદર્શિતા વધશે, સાથે જ ભવિષ્યમાં સંભવિત વીજ સંકટો ટાળવા માટે આયોજન વધુ અસરકારક બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે પોર્ટલ પાવર મેનેજમેન્ટ માટે મદદરૂપ થશેઆગામી વર્ષમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટરોથી માંડીને સંખ્યાબંધ નવા ઉદ્યોગો આવશે. તેમને જે તે વિસ્તારમાં કેટલી વીજળીની જરૂર પડશે. આ વર્ષો દરમિયાન સમયની બચત થાય, ઉત્પાદન ઝડપી બને તે માટે ઉદ્યોગોને ઝડપથી કનેક્શનો અને તે માટે ક્યાં વિસ્તારમાં કેટલા સબસ્ટેશન મૂકવા પડશે તેની સટિક પૂર્વ તૈયારીથી વીજ વિભાગે સજ્જ રહેવું પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ પોર્ટલનું લોન્ચિંગ દેશમાં નવું સીમાચિહ્ન છે. ઉનાળામાં 7 હજાર મેગાવોટ વીજળીની ખપતસૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળામાં એટલે કે એપ્રિલથી મે મહિના દરમિયાન વીજમાંગ સૌથી વધુ રહે છે જે 6થી 7 હજાર મેગાવોટ પર પહોંચે છે. જ્યારે શિયાળામાં અને ચોમાસા દરમિયાન આ વીજમાંગ ઘટીને 4 હજાર મેગાવોટ આસપાસ રહે છે. કૃષિ પ્રવૃત્તિઓ પ્રમાણે વધારો-ઘટાડો જોવા મળે છે. નવું ‘ઊર્જા સંવર્ધનમ’ પોર્ટલ આ તમામ ડેટાનું અવલોકન કરશે જેથી સમયસર યોગ્ય આયોજન કરી શકાશે. સમય અને વિસ્તાર પ્રમાણે પણ વીજ વપરાશ જાણી શકાશે, પ્લાનિંગમાં મદદ મળશે ફાયદા

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:05 am

મોબાઈલથી જાણો સોનું અસલી કે નકલી?:એક ભૂલ અને લાખોનું નુકસાન! કેવી રીતે બચવું? જાણો 'BIS CARE' એપથી શુદ્ધતા ચકાસવાની સ્માર્ટ ટ્રિક

તહેવારોની સિઝનમાં તમે લાખો રૂપિયાનું સોનું ખરીદવા જાઓ છો, પણ શું તમને ડર છે કે 22 કેરેટના પૈસા ચૂકવીને તમે ભૂલથી 18 કેરેટનું સોનું તો નથી લાવી રહ્યા ને? સોનું ખરીદવામાં એક નાનકડી ભૂલ તમને હજારો કે લાખોનું નુકસાન કરાવી શકે છે. પણ ગભરાશો નહીં, કારણ કે હવે તમે પોતે જ જ્વેલરની દુકાન પર, પેમેન્ટ કરતાં પહેલાં સોનાની અસલી શુદ્ધતા ચકાસી શકો છો. આ ચકાસણી થશે 6 આંકડાના HUID કોડ અને એક સરકારી મોબાઈલ એપથી. તો ચાલો આજે ભાસ્કર એક્સપ્લેનરમાં આખી પ્રોસેસ 3 સિમ્પલ સ્ટેપમાં જાણીએ. HUID એટલે સોનાનું 'આધાર કાર્ડ' ભારત સરકારે 1 એપ્રિલ 2023થી તમામ સોનાના દાગીના પર HUID (Hallmark Unique Identification) કોડ ફરજિયાત કર્યો છે. આ 6 આંકડાનો આલ્ફાન્યૂમેરિક કોડ દરેક દાગીનાની 'ડિજિટલ કુંડળી' જેવો છે. આ કોડમાં દાગીનો ક્યાં બન્યો, કયા હોલમાર્કિંગ સેન્ટરમાં તેની શુદ્ધતા ચેક થઈ, તે બધો જ ડેટા રેકોર્ડ હોય છે. 3 સ્ટેપમાં મોબાઈલથી કેવી રીતે ચેક કરવું? તમે પોતે જ તમારા ફોનથી આ કોડને વેરિફાય કરી શકો છો. આ કામ ઘરે આવીને નહીં, પણ જ્વેલરના કાઉન્ટર પર પેમેન્ટ કરતાં પહેલાં જ કરવાનું છે. આ ભૂલ ન કરતા: બિલ પર HUID લખાવો આ સૌથી મોટી યુટિલિટી ટિપ છે. જ્યારે પણ સોનું ખરીદો, ત્યારે જ્વેલર પાસેથી હંમેશા પાક્કા બિલ પર એ જ HUID નંબર લખાવીને સહી-સિક્કો કરાવી લો. એક વાત ખાસ જાણવા જેવી છે કે, કાયદા મુજબ જ્વેલર માટે દાગીના પર HUID હોવું 'ફરજિયાત' છે, પરંતુ તેને બિલ પર છાપવું 'સ્વૈચ્છિક' (Voluntary) છે. આથી, જો તમે સામે ચાલીને બિલ પર તે નંબર નહીં લખાવો, તો જ્વેલર કદાચ નહીં છાપે. ભવિષ્યમાં કોઈપણ વિવાદના કિસ્સામાં, આ બિલ જ તમારો સૌથી પાક્કો પુરાવો બનશે. આટલું ખાસ યાદ રાખો ટૂંકમાં, સોનું ખરીદતી વખતે આ 3 કામ કરો: યાદ રાખો, સોનાની ખરીદીમાં તમારો ભરોસો નહીં, પણ તમારી 'ચકાસણી' જ તમારા પૈસા બચાવશે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:05 am

કાર્યવાહી:અપહરણ,લુંટ અને હત્યાની કોશિશના ગુનામાં આરોપી જબ્બે

હોસ્પિટલ રોડ પર આવેલ આઈસીઆઈસીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સમાં નોકરી કરતા યુવાનનું કારમાં અપહરણ કરી લુંટ બાદ હત્યાની કોશિશ કરવાના બનાવમાં મુળ તેરા ગામના આરોપીને એલસીબીએ રોહા(સુમરી) સીમમાંથી દબોચી લીધો છે. એલસીબીને બાતમી મળી હતી કે, બી ડીવીઝનના અપહરણ, લુંટ અને હત્યાની કોશિશના ગુનામાં જલારામનગરમાં રહેતો આરોપી મયુરસિંહ દેવુભા જાડેજા રોહા(સુમરી)ની સીમમાં છે. બાતમીને આધારે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો.ગત 13 ઓગષ્ટના યુવાનનું કારમાં અપહરણ કર્યા બાદ મિરજાપર ખાતે વાડામાં લઇ જઇ મોબાઈલની લુંટ કરી ઢોર માર માર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:03 am

મંડે પોઝિટીવ:માધાપરની બ્રેલ લાઇબ્રેરીની 3 હજારથી વધુ ઓડિઓ બુક

માધાપરની જ્ઞાન જ્યોત બ્રેલ લાઇબ્રેરીને ગુજરાત સરકાર દ્વારા અંધજન ગ્રંથાલય કેટેગરીમાં ઉત્તમ ગ્રંથાલય અને તેમના ગ્રંથપાલ ભારતીબેન નરેન્દ્ર ચાવડાને ઉત્તમ ગ્રંથપાલ તરીકેની જાહેરાત કરવામાં આવી છે. માધાપર સ્થિત આ નવચેતન અંધજન મંડળ દ્વારા સંચાલિત લાઇબ્રેરીમાં બનતા પુસ્તકો, ઈ બુકો તથા ઓડિઓ બુક દ્વારા દેશભરમાં વસતા ગુજરાતી દિવ્યાંગોને લાભ મળે છે તેની નોંધ સરકાર દ્વારા લેવામાં આવી છે. લાઇબ્રેરીની શરૂઆત 1981માં ભચાઉ ખાતે કરાઇ હતી, પરંતુ ભૂકંપના લીધે તે જમીનદોસ્ત થઈ હતી. જે બાદ 2003ની સાલમાં માધાપર ખાતે લાઇબ્રેરીની નવી શરૂઆત કરાઇ હતી. અને તેમનું આધુનિકરણ કરવામાં આવ્યું છે હતું. જ્યાં બ્રેલ, ઓડિયો, મલ્ટિમેડિયા અને ઈ - બુક લાઇબ્રેરી માત્ર સંસ્થાની શાળાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાત બાર વસતા પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓને અનુરૂપ હોય તેવા માધ્યમ જેમકે બ્રેલ, લાર્જ પ્રિન્ટ, ઓડિયો વિડીયો અને ઈ- બૂક ફોર્મેટમાં વાંચન સામગ્રી પૂરી પડે છે. ગ્રંથપાલ તરીકે કાર્ય કરતાં ભારતીબેને સંસ્થા દ્વારા જે 3000 થી વધુ ઓડિયો બૂકો બનવામાં આવી છે તેમાંથી 600 થી વધુ બૂકોનું રેકોર્ડીંગ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. તથા પોતે આગળ આવીને ખુદ ઈ-બુક બનાવતા શીખ્યા અને બાદમાં ટીમ સાથે મળીને હાલમાં ડિસેબલ વાંચકો માટે ઈ-બૂકો બનાવી રહ્યા છે. ઓડિયો બૂક સિવાય લાઇબ્રેરીમાં પાઠયપુસ્તક, નવલકથાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, ઈ- બૂકો પણ બનાવમાં આવે છે. જે સુગમ્ય પુસ્તકાલય પ્લેટફોર્મ પર બધી લાઇબ્રેરીઓ રેજિસ્ટર્ડ હોય છે જેમાં વાંચકોને આઈડી પાસવર્ડ દ્વારા એકસેસ આપવામાં આવે છે. લાઇબ્રેરી સિવાય પણ દિવ્યાંગોને અનેક સુવિધાનવચેતન અંધજન મંડળ દ્વારા લાઇબ્રેરી સિવાય પણ દિવ્યાંગ શાળાઓ, છાત્રાલયો,દિવ્યાંગ કન્યા કુંજ, ફિઝિયોથેરાપી સેન્ટર, ઔધયોગીક ટ્રેનિંગ સેન્ટર, દિવ્યાંગ પુનઃવસન કેન્દ્ર, બ્રેલ પ્રેસ, ઓડિયો રેકોર્ડીંગ યુનિટ, ડિજિટલ બૂકો માટે ઈલેક્ટ્રોનિક પબ્લિકેશન જેવા કર્યો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ભવિષ્યનો રોડમેપ તૈયાર કરાયોસંસ્થાના ઘણા બાળકો રમત ગમત ક્ષેત્ર પર આગળ આવી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા ગ્રાઉંડ બનાવમાં આવે જેથી બને તેટલા વધુ બાળકો આ ક્ષેત્રમાં આગળ વધી શકે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:02 am

વર્કશોપ:ગુજરાતના વિકાસમાં કચ્છનું યોગદાન સહિતના વિષયો પર વર્કશોપ યોજાશે

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રીસર્ચને વધુ મહત્વ આપવામાં આવે છે આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને કોલેજોને સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ યોજવા માટે પીએમ ઉષા અંતર્ગત 126 કાર્યક્રમ યોજવાની મંજુરી આપવામાં આવી છે.જેમાં કુલ 2.89 કરોડની ગ્રાન્ટ મંજુર કરાઈ છે.કચ્છમાં યુનિવર્સિટીને 7 અને તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને 3 કાર્યક્રમોની મંજૂરી અપાઈ છે. રિસર્ચ અને ફેસીલીટીને પ્રોત્સાહન આપવા ઉચ્ચ શિક્ષણની તમામ સરકારી યુનિવર્સિટી અને સરકારી અને અનુદાનિત કોલેજોમાં રિસર્ચ વર્કશોપ સેમિનાર યોજવા 30 જુન 2025 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી હતી.આ અરજીનું 12 અને 13 ઓગસ્ટના ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ખાતે સ્ક્રિનિંગ કરાયું અને બાદમાં 25 ઓગસ્ટના કેસીજી ખાતે સ્ક્રિનિંગ કરાયું જેમાં અરજી મંજૂર કરવા સાથે 50માંથી કેટલા માર્ક્સ મળશે અને પ્રસ્તાવિત ગ્રાન્ટ સામે કેટલા મંજૂર કરવામાં આવ્યા છે તે નક્કી કરાયું છે. રાજ્યમાં 126 કાર્યક્રમ માટે 2.89 કરોડની ગ્રાન્ટ મંજૂર અપાઈ છે.આ નાણાકીય સહાયનો મુખ્ય ઉદ્દેશ ફેકલ્ટી અને સ્ટાફ ટ્રેનિંગ સાથે નવા પુસ્તકોની ખરીદી અને રિસોર્સને વધારવાનો છે.કચ્છ યુનિવર્સિટી દ્વારા ગુજરાતના વિકાસમાં કચ્છનું યોગદાન, સરદાર વલ્લભભાઈ પટેલ, કોમર્સ અને સોશિયલ સાયન્સમાં રિસર્ચ, ઉદ્યોગોમાં આધુનિકરણ, ઉદ્યોગોમાં આવતા બદલાવ, ઉચ્ચ એજ્યુકેશનમાં ઇન્ડસ્ટ્રીનું મહત્વ, યોગા અને આરોગ્ય સહિતના વિષયો પર 7 વર્કશોપ સેમિનાર-કોન્ફરન્સનું આયોજન કરાશે. જ્યારે ગ્રાન્ટ ઇન એઇડમાં સ્થાન ધરાવતી તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને પેપર અને થીસીસ નવી એજ્યુકેશન પોલીસી મુજબ કઈ રીતે લખવા, કન્ટેન્ટ ક્રિએશન ટીચિંગ અને રિસર્ચ માટે તથા સાયન્સ અને ટેકનોલોજીમાં ઉભરતા ટ્રેન્ડ વિષય પર વર્કશોપ સેમિનાર યોજવામાં આવશે.કુલ 10 કાર્યક્રમ માટે 70 લાખની ગ્રાન્ટની દરખાસ્ત સામે 27 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હોવાનું પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન,રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં જણાવાયું છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એચ.આર.ડી.સી વિભાગ મારફતે ચૂકવણા થશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:01 am

તાલીમ:કચ્છમાં બાળમરણ ઘટાડવા માટે કવાયત શરૂ કરાઇ

જી.કે.જનરલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા બાળ મૃત્યુદર ઘટાડવા અને બાળકોને ત્વરિત સારવાર આપવા સંકલિત આયોજન ઘડી કાઢવા માટે જિલ્લાના ડોક્ટર્સ અને નર્સિસ બહેનો માટે જી.કે.માં 3 તબક્કામાં તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં 100 જેટલા ડોક્ટર્સ અને નર્સિસ બહેનોને તાલીમબદ્ધ કરાયા હતાં. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સુધારેલી માર્ગદર્શિકા IMNCI અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીતેશ ભંડેરી, ગેઈમ્સના ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈ, અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ટ્રેનિંગમાં આરોગ્ય વિભાગના તમામ તાલીમ સજ્જ ડોક્ટર્સ અને કર્મીઓ આગામી દિવસોમાં જિલ્લાના લગભગ 800 પાયાના આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપશે.જે બાળ મરણનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ બનશે. આ તાલીમમાં જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી આર.સી.એચ.ઓ. ડો. દિનેશ પટેલ, સિનિયર મેડિકલ ઓફિસર ડો. કીર્તિકુમાર સીજુ, ગેઈમ્સના બાળરોગ વિભાગના પ્રો.અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. રેખાબેન થડાની, આસિ. પ્રો. ડો. યશ્વી દતાણી, કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રો.અને હેડ ડો.શ્રેયસ મહેતા અને આસિ.પ્રો.ડો. ધારા ચૌધરીએ પ્રશિક્ષક તરીકે સેવા આપી હતી. IMNCI: નવજાત અને બાળરોગ સામે સંકલિત પ્રબંધન5 વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુ દર અને બીમારી ઘટાડવા ડબલ્યુ એચ.ઓ. અને યુનિસેફ દ્વારા એક રણનીતિ તૈયાર કરાઈ છે. જેમાં બાળકોનું સ્વાસ્થ્ય સંવર્ધન કરી રોગને આગળ વધતો અટકાવવા, ગંભીર બીમારીની ત્વરિત પહેચાન કરી પ્રભાવી ઉપચાર માટે સંકલિત પ્રયાસો કરવા,જે IMNCI ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ નિયોનેટલ ચાઇલ્ડ હુડ ઈલનેસ)તરીકે ઓળખાય છે. જેમાં પોષણ અને રસીકરણ સામેલ છે. જેની કામગીરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:00 am

ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને સંતાનોની હત્યા કર્યાની આશંકા:મૃતકના ભાઈએ કહ્યું- 'શરીર પર પથ્થરો બાંધી મૃતદેહ દાટવામાં આવ્યા, આ એકલા વ્યકિતનું કામ નથી'

ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શૈલેષ ખાંભલાએ સાતમી તારીખે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાદો કરી દાટી દેવાયેલા ત્રણેયના મૃતદેહ મળતા પતિ જ શંકાના દાયરામાં આવી ગયો છે. તેને જ ત્રણેયની હત્યા કરી હોવાની આશંકા પ્રબળ બની છે. ભાવનગર પોલીસે આજે આ કેસને લઈ સિલસિલાબંધ વિગત જાહેર કરી શકે છે. મૃતક નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ પતિની ગેરહાજરીમાં અને અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં રવિવારે રાત્રે અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતક નયનાબેનના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, જે રીતે ઘરમાંથી અહીં સુધી લાશો લાવવામાં આવી છે અને પથ્થરો બાંધી દાટવામાં આવી છે તેને જોતા સ્પષ્ટ છે કે, આ બનાવમાં એક કરતા વધુ લોકો સંડોવાયેલા છે. જે લોકોએ આ રાક્ષસી કૃત્ય કર્યું છે તેઓને ફાંસીની સજા થવી જોઈએ. લાશનો પથ્થરો બાંધી દાટી દેવી, આ એક વ્યકિતનું કામ નથી- મૃતકના ભાઈનયનાબેનના પિતરાઈ ભાઈ હરેશભાઈ જોટાણા 'દિવ્ય ભાસ્કર'ને જણાવેલ કે,અમારા બહેને પાંચમી નવેમ્બરે ભાવનગરથી બંને સંતાનો સાથે ગુમ થઈ ગયા છે તેવી જાણ બનેવી દ્વારા છઠ્ઠી તારીખે પરિવારને કરી હતી. જેથી અમે પરિવાર સાથે ભાવનગર આવ્યા હતા. બહેન અને બનેવીના લગ્નને 15 વર્ષનો સમયગાળો થઈ ગયો છે. તેઓને કોઈ તકલીફ ન હતી. બનેવીની અલગ અલગ જગ્યાએ બદલીઓ થતી હોય બહેન બંને સંતાનો સાથે સુરત રહેતા હતા. જ્યારે બનેલી જ્યાં પણ નોકરી હોય ત્યાં ક્વાર્ટરમાં રહેતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે,જે રીતે મૃતદેહો મળ્યા છે તે એક વ્યકિતનું કામ નથી. કારણ કે ત્રણ વ્યક્તિના મૃતદેહ દાટ્યા છે અને તમે જોઈ શકો છો જેવી રીતે અમને માહિતી મળે છે સાચું ખોટું તો અત્યારે અમને નથી ખબર પણ વાત મળી છે કે, અમારી બેનની જોડે જે પથ્થરો બાંધ્યા છે તો એ એકલા વ્યક્તિનું કામ નથી. ત્રણ ત્રણ મૃતદેહને અંદરના રૂમમાંથી ખાડા સુધી લાવવા એની માથે પાણી નાખવું, રેત નાખવી એ બધું કોઈ એક વ્યક્તિનું કામ નથી આની સાથે અન્ય વ્યક્તિઓ સંડોવાયેલા છે જ તે અમને પ્રબળ શંકા છે. પોલીસ દ્વારા હાલ તમારા બનેવીને શંકાના દાયરામાં જોવે છે તે અંગે પૂછતા જણાવેલ કે એમાં પોલીસ તપાસ ચાલુ છે. અમારા બહેન તરફથી અમને પહેલા લગ્નજીવનમાં કાંઈ ફરિયાદ કરવામાં નથી આવી પણ બંને અલગ રહેતા એમના કામકાજના હિસાબે બાકી બહેનને કોઈ તકલીફ ન હતી પણ હવે પોલીસ તપાસ કરી રહી છે તો પોલીસને કોઈ યોગ્ય માહિતી મળી હશે તો જ એમાં પોલીસ કરી રહી હશે. રાક્ષસી કૃત્ય કરનારને ફાંસીની સજા આપવામાં આવે- હરેશભાઈવધુમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે અમે ન્યાયની માંગણી કરીએ છીએ. રાક્ષસ હોય એ પોતાના પરિવારને છોડી દે જ્યારે આ વ્યક્તિએ તો અત્યારે પોલીસ કહી રહી છે કે, શૈલેષ ખાંભલા પોતે જ આરોપી છે એને પોતાની પત્નીને તો છોડો પણ એને પોતાના બાળકોને પણ નથી છોડ્યા. તો સરકાર પાસે એ જ માંગણી કરીએ છીએ કે, આ વ્યક્તિને ફાંસીની સજા સિવાય બીજી કોઈ ઓછી સજા હોય જ ના શકે. આજે અમારો આખો પરિવાર વિખાઈ ગયો છે. તો અમે સરકાર પાસે એ જ માંગણી કરીએ છીએ કે, આ વ્યક્તિને ફાંસીની સજા કરવામાં આવે. નોકરીના સમયગાળાની અંદર એને જે જે પણ કરપ્શન કર્યું હશે જે ભી કંઈ હશે એની મિલકતથી લઈને એની બધી તપાસ કરવામાં આવે અમે સરકારને આ બધી માંગણી કરીએ છીએ. સાથે જે લોકો મદદગારીમાં હોય એમને પણ ફાંસીની સજા આપવામાં આવે અને અમને અમારા પરિવારને ન્યાય આપવામાં આવે એવી સરકારને વિનંતી છે. 5મી તારીખે ગુમ માતા અને બંને સંતાનોના 16મીએ મૃતદેહો મળી આવ્યા ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં પોતાને ફાળવાયેલા ક્વાર્ટરમાં રહેતા હતા. જ્યારે તેના પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. દિવાળી વેકેશન હોય નયનાબેન બંને સંતાનોને લઈ ભાવનગર પતિ શૈલેષ પાસે આવ્યા હતા. 5મી નવેમ્બરે નયનાબેન અને બંને સંતાનો સુરત જવા નીકળ્યા હતા. પરંતુ, સુરત ન પહોંચતા શૈલેષ ખાંભલા દ્વારા જ ભાવનગર પોલીસને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. પતિ દ્વારા નયનાબેનના પિયરપક્ષના લોકોને પણ જાણ કરતા તેઓ પણ ભાવનગર આવ્યા હતા અને સમાજના અન્ય લોકો સાથે મળી પોલીસને રજૂઆત કરી હતી. ભાવનગર પોલીસને એક બાતમી મળ્યા બાદ ત્રણેય લાશ મળી આવીભાવનગર પોલીસની ટીમ ત્રણેય મૃતકોને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. ત્યારે પોલીસને 15મી નવેમ્બરે એક બાતમી મળી હતી કે, જે ત્રણ લોકો ગુમ થયા છે તેના બંગલાની નજીક જ થોડા દિવસ પહેલા શંકાસ્પદ રીતે ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાદમાં પૂરી દેવામાં આવ્યો છે. સવાર પડતા જ પોલીસ જેસીબી, ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ખાડો ખોદતા નયનાબેન અને તેના બંને સંતાનોના મૃતદેહો મળી આવ્યાભાવનગર પોલીસે ખોદકામ કરતા ત્રણેયના કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જે નયનાબેન, પૃથા અને ભવ્યના હોવાની પરિવારજનોએ ઓળખ કરી હતી. જે ત્રણ લોકો ગુમ હતા તેઓના તેના ઘરની નજીકથી જ દાટેલી હાલતમાં મૃતદેહો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ભાવનગર એસપીએ કહ્યું- 'આ મામલામાં પતિ શંકાના દાયરામાં'આ સમગ્ર મામલે ભાવનગર પોલીસ દ્વારા એક બાદ એક કડીઓ જોડવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એસપી નીતેશ પાંડેએ જણાવ્યું હતું કે, પતિ શંકાના દાયરામાં છે. સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. એક વર્ષ પહેલાં શૈલેષ ખાંભલાનું પ્રમોશન સાથે ભાવનગર બદલી થઈ હતીભાવનગર જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા અગાઉ દાહોદ ખાતે, ત્યાર બાદ જૂનાગઢના મેંદરડામાં અને ફરી દાહોદ ખાતે RFO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જે બાદ એક વર્ષ પહેલા ACFના પ્રમોશન સાથે તેની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:00 am

NSEના નવા રિપોર્ટે શેરબજારની દશા-દિશા બતાવી દીધી:કોરોનાકાળમાં આવેલા ઇન્વેસ્ટરની હાલત કેમ માઠી? કયા સેક્ટરમાં બમ્પર રિટર્ન? એક્સપર્ટે સરળ રીતે સમજાવ્યું

ગુજરાતીઓએ શેરમાર્કેટના રોકાણને હવે સાઇડ ઇન્કમનો સોર્સ બનાવી દીધો છે. એટલે કે પોતાના કામ-ધંધા, નોકરીની સાથે હવે લોકો શેરબજારમાંથી પણ કમાણી કરવાના નામે રૂપિયા રોકે છે. પણ શેરબજારમાં અત્યારે શું ચાલી રહ્યું છે? ગુજરાતી રોકાણકારોની સ્થિતિ શું છે? કયા સેક્ટરમાં રોકાણ કરવું ફાયદાકારક છે? અને SIPએ કેવું માર્કેટ બનાવ્યું છે? એવા મુદ્દા પર તાજેતરમાં જ NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જનો એક રિપોર્ટ સામે આવ્યો છે. દિવ્ય ભાસ્કરે આ મુદ્દે માર્કેટ એક્સપર્ટ અને ઇન્વેસ્ટર પોઇન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા સાથે વાતચીત કરી અને તેનું સરળ ભાષામાં વિશ્લેષણ સમજવાનો પ્રયાસ કર્યો હતો. જયદેવસિંહ ચુડાસમાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું, સામાન્ય રીતે NSE સમયાંતરે વિવિધ વિષયો પર રિપોર્ટ બહાર પાડે છે. આ વખતનો રિપોર્ટ ડિમેટ એકાઉન્ટની સંખ્યાને લઈને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા 1 કરોડ કરતા વધારે છે. ગુજરાતની વસતિની સરખામણીએ આ ખૂબ જ સારી બાબત કહી શકાય. કેમ કે આનો અર્થ થાય છે કે દર 4 વ્યક્તિએ એક વ્યક્તિ પાસે ડિમેટ એકાઉન્ટ છે. આ આંકડો સમગ્ર ભારતની તુલનામાં ઘણો સારો કહી શકાય. ભારતમાં માત્ર 6 રાજ્યો પાસે 50%થી વધુ ડિમેટ એકાઉન્ટ છે, જેમાં પહેલા નંબરે મહારાષ્ટ્ર, બીજા ક્રમે ઉત્તરપ્રદેશ અને ત્રીજા ક્રમે ગુજરાત આવે છે. છેલ્લા બે વર્ષમાં મહિલા રોકાણકારોની સંખ્યા વધીઆ ટ્રેન્ડ પાછળના કારણો વિશે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, છેલ્લાં થોડા વર્ષોથી મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા એટલે કે ફાયનાન્સિયલ લિટરસી અંગે ખૂબ જ સારી જાગૃતિ જોવા મળી રહી છે. કોરોનાકાળમાં ઘણા પરિવારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. એ પછી મહિલાઓ પરિવારને મદદ કરવા માટે કમાણીના અન્ય સાધનો પર ધ્યાન આપવા લાગી છે. તેમણે ધીમે-ધીમે સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં મહિલાઓની ટકાવારીમાં થયેલો વધારો ખૂબ જ સકારાત્મક બાબત છે. બીજી તરફ, છેલ્લા બે દાયકામાં મહિલાઓએ ઉદ્યોગસાહસિક તરીકે પણ ખૂબ જ સારી પ્રગતિ કરી છે. આવનારા સમયમાં આ આંકડો હજી વધે તેવા પ્રબળ સંકેતો છે. છેલ્લાં પાંચ વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો ડિમેટ હોલ્ડરની સંખ્યામાં પ્રતિ વર્ષ 20%નો વધારો થઈ રહ્યો છે, જ્યારે મહિલાઓના ડિમેટ એકાઉન્ટ પ્રતિ વર્ષ 26%ના દરેથી વધી રહ્યાં છે. જયદેવસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું, એક સમય હતો જ્યારે મહિલાઓ જોખમ લેવા મુદ્દે ખૂબ મુંઝવણમાં રહેતી હતી. પરંતુ નાણાકીય સાક્ષરતામાં વધારો થવાને કારણે હવે મહિલાઓ પોતાની સમજણ સાથે જોખમ લઈને રોકાણ કરી રહી છે. જેમ-જેમ માર્કેટ બાબતે તેમની સમજણ વધતી જાય છે, તેમ-તેમ તેઓ સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા થયા છે. બીજું, મહિલા રોકાણકારોની એક ખાસિયત છે કે એકવાર તેઓ રોકાણ કરવાનું નક્કી કરે તો પુરુષોની તુલનામાં તેઓ રોકાણને લાંબા સમય સુધી જાળવી રાખે છે. પુરુષો વચગાળાના સમયમાં રોકાણમાં બિનજરૂરી ફેરફારો કરતા જોવા મળે છે, જ્યારે મહિલાઓ તેમના ધ્યેયને વળગી રહીને રોકાણને મધ્યમથી લાંબાગાળા સુધી જાળવી રાખવામાં આગળ હોય છે. ગુજરાતના નાના શહેરોમાંથી રોકાણકારો વધ્યાગુજરાતમાં પુરુષ રોકાણકારોની ટકાવારી 2023માં 73.4% હતી, જેમાં ઘટાડો થઈને 72% જેટલી થઈ છે. આ પાછળના કારણો વિશે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ એક સ્વાભાવિક પ્રક્રિયા ગણી શકાય. કેમ કે પુરુષોના ડિમેટ એકાઉન્ટની સંખ્યા ખૂબ જ વધારે હતી, જેની સામે મહિલાઓના ડિમેટ એકાઉન્ટ ખૂબ ઓછા હતા. પરંતુ છેલ્લાં 5થી 10 વર્ષમાં મહિલાઓમાં જાગૃતિ વધી છે, તેનું પરિણામ આ આંકડાઓમાં દેખાય છે. અત્યારે 10 નવા ડિમેટ એકાઉન્ટમાંથી મહિલાઓના ડિમેટ એકાઉન્ટ 6થી 7 હોય છે. જ્યારે માત્ર 3થી 4 એકાઉન્ટ પુરુષોના ખુલી રહ્યાં છે. ધીમે-ધીમે પુરુષોના એકાઉન્ટનો હિસ્સો ઘટતા ક્રમે જોવા મળી રહ્યો છે, જેને સ્વાભાવિક પ્રક્રિયા કહી શકાય. બીજું કારણ એ પણ છે કે પુરુષોના એકાઉન્ટ પહેલેથી જ ઘણાં પહેલાં ખુલી ચૂક્યા હતા, તેથી તેમાં એકાઉન્ટ ખુલવાનો દર ઓછો હોય છે, જ્યારે મહિલાઓમાં હાલમાં આ પ્રમાણ વધી રહ્યું છે. તેના કારણે તેમનો દર વધારે ઝડપથી વધતો હોય તેમ લાગે છે. જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, ગુજરાતમાં સૌથી વધુ ડિમેટ હોલ્ડરોની સંખ્યા અમદાવાદ અને સુરતમાં હતી. છેલ્લા એકાદ દાયકામાં નાના જિલ્લાઓમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં જામનગર, રાજકોટ અને વડોદરાને પણ અગ્રેસર છે. એટલે કે મેટ્રો સિટીઝ કરતા હવે નાના-નાના જિલ્લાઓમાંથી પણ ટકાવારીમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ઉંઝા, જેતપુર, ગાંધીધામ, વાપી, નવસારી અને પોરબંદર જેવા સેન્ટરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કયા સેક્ટરમાંથી સારા રિટર્નની સંભાવના?જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, સેક્ટર પ્રમાણે જોઈએ તો 4થી 5 સેક્ટરમાં છેલ્લા 2થી 4 વર્ષમાં સારો એવો ફાયદો મળ્યો છે. તેમાં સૌથી સારું પ્રદર્શન કરનારું સેક્ટર હોય તો તે ડિફેન્સ સેક્ટર છે. ત્યાર પછી PSU સેક્ટરની બેંક, એ પછી હેવી એન્જિનિયરિંગ કંપનીઓ, સોલારની પ્રોડક્ટ સાથે જોડાયેલી કંપનીઓમાં ખૂબ જ સારું પ્રદર્શન જોવા મળ્યું. પણ ખરાબ પર્ફોર્મન્સ આપનારા સેક્ટરની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરિફ પછી IT સેક્ટર અને ફાર્મા સેક્ટરને ખૂબ જ અસર થઈ છે, જેના કારણે રોકાણકારોને અસર થઈ છે. જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, છેલ્લા 13 મહિના દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને પાર કરવામાં નિષ્ફળ રહ્યાં છે. પણ બની શકે કે આવનારા એકથી બે વર્ષમાં ભારતીય શેરબજાર ઉત્તરોત્તર સારો દેખાવ કરે તેવી શક્યતાઓ છે. જો રોકાણકારોએ સારું રિટર્ન મેળવવું હોય તો, પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો આત્મવિશ્વાસ જાળવી રાખવો જોઈએ. સાથે જ ક્વોલિટી કંપનીઓને ઓળખીને, જ્યારે પણ શેરબજારમાં ઘટાડો આવે, ત્યારે તેને એક અવસરના રૂપમાં લઈને રોકાણ વધારવું જોઈએ. જેને ડાયરેક્ટ ઇક્વિટી બજારની સમજ ન હોય, તેમણે SIP થકી રોકાણ કરવું જોઈએ. અન્ય રાજ્યોની સાપેક્ષમાં ગુજરાતના રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે. તે પાછળના કારણો વિશે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, સ્ટોક માર્કેટમાં ગુજરાત હંમેશા અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે. આજથી બે દાયકા પહેલાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરે આવતું હતું, પણ વસતિના આધારે એવા ઘણા રાજ્યો હતા જ્યાં ડિમેટ હોલ્ડરોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. પરંતુ જેમ-જેમ નાણાકીય સાક્ષરતા વધી અને ડિજિટલ ક્રાંતિ આવી તેના કારણે દેશના ઘણા યુવાન રોકાણકારો અન્ય રાજ્યોમાંથી ઉમેરાતા ગયા. ગુજરાતમાં તો એક પ્રકારે સિનિયોરિટી હતી જ. કેમ કે રોકાણકારો ખૂબ જ પહેલાંથી જોડાઈ ગયા હતા. કોરોના પછી ડિજિટલ ક્રાંતિ થઈ તેના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત કરતા બાકીના રાજ્યોમાંથી વધારે રોકાણકારો જોડાઈ રહ્યા છે. શરૂઆતના દાયકામાં 4 વર્ષ સતત યુવા રોકાણકારોની સંખ્યામાં વધારો થયા બાદ 3 વર્ષથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એ અંગે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, કોરોના પછી ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોએ શેરમાર્કેટમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન હર્ષદ મહેતાની એક પ્રચલિત સિરીઝ પણ આવી હતી, એટલે તેના પરથી પ્રેરણા લઈને પણ યુવા રોકાણકારોએ રોકાણ કરવાની શરૂઆત કરી હતી. જો કે યુવા રોકાણકારોમાં મેચ્યોરિટીના અભાવના કારણે તેઓ આ પ્રવૃત્તિને સટ્ટાકીય રીતે જોતા હોય છે. એટલે આ પ્રકારનો વર્ગ સટ્ટાકીય પ્રવૃત્તિ તરીકે લઈને સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે, જેના કારણે તેની પણ અસર જોવા મળી રહી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે છેલ્લા 6 મહિના રોકાણકારો માટે ઉથલપાથલવાળા રહ્યા છે. આ અંગે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, આ બિલકુલ સાચી વાત છે, કેમ કે ભારતીય શેર બજારમાં નિફ્ટી અને સેન્સેક્સનું લાઇફટાઇમ હાઈ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ હતું. એ પછી આજદિન સુધી ભારતીય શેરબજારે તેના ઉચ્ચતમ સ્તરને વટાવ્યું નથી. નિફ્ટી 26000ને પાર નીકળી હતી પણ લાઇફટાઇમ હાઈ વટાવવામાં સફળ રહી નહોતી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી તેની અસર વિશ્વભરના બજારોની સાથે-સાથે ભારતીય શેરબજાર પર પણ થઈ હતી. એપ્રિલ પછી ટ્રમ્પે સમય જતા ભારત પર 50% ટેરિફ નાંખવાની વાત કરી હતી. એ પછી ભારતીય શેર બજારમાં હળવો પ્રોફિટ-બુકિંગ અને વેચવાલી જોવા મળી હતી. આવા નકારાત્મક સમયમાં પણ ભારતીય શેર બજાર તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર 3થી 4 ટકા જ નીચે આવ્યા હતા. કેન્દ્રીય બજેટમાં 12 લાખ રૂપિયાની આવક સુધી ઇન્કમ ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી. એ પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 100 બેઝિસ પોઇન્ટનો વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આ પણ એક ખૂબ જ મોટી વાત હતી. તાજેતરમાં જે રીતે સરકારે GST દરમાં ઘટાડો કર્યો એ પણ એક સારી અને સૂચક બાબત ગણી શકાય. અન્ય આર્થિક આંકડાઓ જોઈએ તો ઘણા બધા આંકડાઓ આર્થિક રીતે ભારતીય શેર બજારને ટેકો આપતા આવી રહ્યાં છે. તેનું એક ઉદાહરણ આપું તો હાલમાં ઓટો સેલ્સના આંકડાઓ આવ્યા છે તેમાં મોટા ભાગની કંપનીઓએ તેની સ્થાપનાના સૌથી વધુ વેચાણના આંકડાઓ નોંધાવ્યા છે, જે પણ ખૂબ જ સારી બાબત ગણી શકાય. ચાલુ વર્ષમાં GSTના આંકડા પણ ખૂબ જ ઉત્સાહજનક આવ્યા છે. ઉદાહરણ તરીકે ચાલુ વર્ષે એક પણ મહિનો એવો નથી જેમાં GST કલેક્શન 1 લાખ 70 હજાર કરોડ કરતાં ઓછું આવ્યું હોય. આ પણ એક સકારાત્મક બાબત ગણી શકાય. આવામાં ટ્રમ્પના ટેરિફ વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ ચેતનવંતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે ભારતનું અર્થતંત્ર ઘરેલુ વપરાશ પર આધારિત છે, નહીં કે નિકાસ પર. ભારતના અર્થતંત્રમાં 82% હિસ્સો ઘરેલુ વપરાશનો જ્યારે 18% નિકાસનો છે. જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું, ભારતમાં GST કલેક્શનના આંકડાઓ દર્શાવે છે કે તેમાં 4થી 5 રાજ્યોનો સૌથી વધુ ફાળો છે. GST કલેક્શનના આંકડાઓ મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુનું કલેક્શન લગભગ 50% જેટલું છે. જ્યારે આ આવકનું પુન:વિતરણ સમગ્ર દેશમાં થાય છે. ઉદ્યોગોમાં પણ ચાર રાજ્યો હંમેશા આગળ રહે છે. રિપોર્ટ પ્રમાણે નવા પ્રોજેક્ટ્સમાં રાજ્યવાર વાર્ષિક સરેરાશ રોકાણ નાણાકીય વર્ષ 2015થી 2018માં દોઢ લાખ કરોડ રૂપિયા હતું, જે વધીને નાણાકીય વર્ષ 2019થી 2025 દરમિયાન 3.1 લાખ કરોડ રૂપિયા થયું છે. આ વધારા પાછળનું કારણ શું છે તે અંગે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું કે જે રીતે ફુગાવાનો દર વધી રહ્યો છે તે જોતાં ચોક્કસ કહી શકાય કે કોઈ પ્રોજેક્ટની 2019માં જે કિંમત હોય તે 2025માં 15%થી 20%ના દરથી વધતી હોય છે. બીજી તરફ મોંઘવારી વધે છે, જેની અસર પ્રોજેક્ટ કોસ્ટ પર આવે છે. આ વાતની અસર આ આંકડાઓમાં જોવા મળતી હોય તેવું લાગે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:00 am

અમદાવાદમાં પહેલી મોટરકાર અંબાલાલ સારાભાઈ લાવ્યા:ભારત ગુલામ હતો ત્યારે અંગ્રેજોના દેશમાં ભારતીય કંપની શરૂ કરી, શાહીબાગમાં બનાવ્યો ભવ્ય બંગલો

અમદાવાદ ને ઉદ્યોગપતિઓની વાત આવે ને અંબાલાલ સારાભાઈનું નામ ના આવે તે શક્ય જ નથી. અંબાલાલ સારાભાઈ તે સમયમાં આધુનિક વિચારો ધરાવતા હતા. અંબાલાલ સારાભાઈને આજની પેઢી તો કદાચ ઓળખતી પણ નહીં હોય, પરંતુ જૂની પેઢી ક્યારેય આ નામ ભૂલશે નહીં. આજની પેઢીને ડૉ. વિક્રમ સારાભાઈ વિશે તો ખ્યાલ જ હશે તો ડૉ. વિક્રમ સારાભાઈના પપ્પા એટલે અંબાલાલ સારાભાઈ. દિવ્ય ભાસ્કર છ એપિસોડની ગુજરાતના જાણીતા બિઝનેસમેનની સિરીઝ 'લક્ષાધિપતિ' આજથી શરૂ કરી રહ્યું છે, જેમાં સૌ પહેલાં અમદાવાદના અંબાલાલ સારાભાઈના પરિવારની વાત કરીશું. સારાભાઈ પરિવારને કારણે આજે અમદાવાદમાં અનેક જાણીતી સંસ્થાઓ છે. અંબાલાલ સારાભાઈનાં સંતાનો, પૌત્ર-પૌત્રીઓ આજે શું કરે છે તે અંગે પણ વાત કરીશું. મગનભાઈ શેઠે ભત્રીજીના દીકરાને દત્તક લીધોઅંબાલાલ સારાભાઈ અંગે વાત કરીએ તે પહેલાં આપણે તેમના પૂર્વજો અંગે થોડું જાણી લઈએ. 1880નો સમય હતો. અમદાવાદ શહેરના શ્રીમંતો અલગ-અલગ બગી ને ઘોડા રાખતા. અમદાવાદના તે સમયના જાણીતા મગનભાઈ શેઠના ઘરમાં જાહોજલાલી હતી ને તેમનો પરિવાર ચીન-ભારતના વચ્ચેના અફીણ ને રેશમના વેપારમાં ચિક્કાર કમાણી કરી હતી. અંગ્રેજ સરકારે તેમને રાવ બહાદુરનો ઇલ્કાબ આપ્યો હતો. તેઓ રાયપુરની હવેલીમાં રહેતા હતા. તેઓ નિઃસંતાન હોવાથી તેમણે ભત્રીજી ચંચળબહેનના આઠેક મહિનાના દીકરા સારાભાઈને દત્તક લીધા. દત્તક લીધાના થોડા સમયમાં જ મગનશેઠનું અવસાન થયું ને તમામ સંપત્તિનો વારસો સારાભાઈને મળ્યો. સારાભાઈનાં લગ્ન ગોદાવરી બહેન સાથે થયાં. સારાભાઈનો પરિવાર પહેલેથી જ આધુનિક વિચારસરણી ધરાવતો. તે સમયે ગોદાવરી બહેન અંગ્રેજી સાહિત્ય વાંચતાં ને તેમના પલંગ પર શેક્સપિયરનું ‘હેમ્લેટ’ જોવા મળતું. તેઓ અંબાજીનાં દર્શને નિયમિત જતાં અને તેમણે માનતા માની હતી કે જો દીકરો જન્મશે તો અંબાલાલ નામ રાખશે ને તેમની માનતા ફળીભૂત થતાં જ તેમણે દીકરાનું નામ અંબાલાલ રાખ્યું. સારાભાઈ શેઠનું માત્ર 28 વર્ષની ઉંમરે અવસાનકરમની કઠણાઈ એવી કે સારાભાઈ શેઠનું માત્ર 28 વર્ષની ભરયુવાન ઉંમરે અવસાન થયું. પતિના મોતનો એ હદે આઘાત લાગ્યો કે ગોદાવરી બહેન પણ છ મહિના બાદ જ મૃત્યુ પામ્યાં. આ સમયે અંબાલાલની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. અંબાલાલને પોતાનાથી ચાર વર્ષ મોટાં બહેન અનસૂયા પણ હતાં. અંબાલાલ અઢળક સંપત્તિના માલિક હતા, પરંતુ ઉંમર સાવ નાની હતી. અંબાલાલ ને અનસૂયાને કાકા ચીમનભાઈ નગીનદાસે જીવની જેમ સાચવ્યા. એક આડ વાત કે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી સી.એન. વિદ્યાવિહાર સ્કૂલ એટલે ચીમનભાઈ નગીનદાસના નામ પરથી બનાવવામાં આવી છે. અંબાલાલ ત્રીજા પ્રયાસે મેટ્રિક પાસ થયાઅંબાલાલને ભણવાને બદલે પશુ-પક્ષી, વૃક્ષોમાં વધારે રસ હતો આ જ કારણે મેટ્રિક માંડ માંડ ત્રીજા પ્રયાસે પાસ થયા. પછી અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણ્યા. અંબાલાલના પરિવારની મહિલાઓ તે સમયે ઘોડેસવારી કરતી. તેમને અંગ્રેજીનું શિક્ષણ આપવા માટે પારસી ને યુરોપિયન બાનુઓ આવતી. અંબાલાલ પહેલા રાયપુર હવેલી રહ્યા, પછી ઘીકાંટા વાડી ને પછી ખાનપુરના ચાંદા સૂરજ મહેલમાં રહેતા. ત્યારબાદ મિર્ઝાપુરમાં ‘શાંતિસદન’ નામના આલીશાન બંગલામાં ને છેલ્લા શાહીબાગમાં આવેલા ‘રિટ્રીટ’ બંગલામાં રહ્યા. 18 વર્ષે રાજકોટના વકીલની દીકરી સાથે લગ્ન કર્યાંગર્ભશ્રીમંત એવા અંબાલાલ રૂપાળા હતા. 18 વર્ષની ઉંમરે તેઓ ‘કેલિકો’ ને ‘જ્યુબિલી’ મિલના માલિક હતા. અનેક હવેલી, વાડી, બાગ-બગીચા હતા. ઘરમાં ઘોડાગાડી ને બગીઓની લાઇન લાગેલી હતી. 1918માં કાકા ચીમનલાલે ભત્રીજા અંબાલાલ માટે સારી કન્યા શોધવાનું કામ મિલ મેનેજર જમનાદાસને સોંપ્યું. અંબાલાલનો પરિવાર દશા શ્રીમાળી જૈન હતો. તે સમયે અમદાવાદના શાહપુરમાં મૂળ રાજકોટના એડવોકેટ હરિલાલ ગોસલિયા રહેતા અને તેમને પાંચ દીકરી, તેમાંથી એક રેવા. રેવા આમ રંગે શ્યામ પણ તેના વાળ ખાસ્સા લાંબા હતા. કોઈની ભલામણથી જમાનદાસ આ એડવોકેટના ઘરે કન્યા માટે આવ્યા. ઘરમાં રેવા ને તારા એમ બે કન્યાઓ હતી. ઘરમાં જરી ભરેલી એક જ ભારે સાડી હતી તો બંને બહેનોએ વારાફરતી પહેરીને ફોટા પડાવ્યા. મેનેજરે આ ફોટા અંબાલાલ ને ચીમનલાલને આપ્યા. બંનેને રેવા વધારે ગમી. તે સમયે અંબાલાલ કન્યા જોવા માટે ઘરે ગયા. ત્યાં તેમણે રેવાને સવાલ કર્યો કે તમારી મરજીથી આ સંબંધ કરવા માગો છે કે કોઈના દબાણથી? નાનકડી રેવાએ સહજ ભાવે જવાબ આપ્યોઃ 'મારી ઈચ્છાથી.' લગ્ન નક્કી થયાં, પરંતુ કાકાનું 45 વર્ષની વયે અવસાન થતાં અંબાલાલ શેઠ પર તમામ જવાબદારી આવી ગઈ. તેમની મિલોમાં બનતું કાપડ મુંબઈ સુધી વખણાયું. અંબાલાલ કામમાં એવા વ્યસ્ત થયા કે લગ્નની વાત જ ભૂલી ગયા.આ સમયે રેવાએ કાગળ લખીને અંબાલાલને સવાલ કર્યો કે તમે શું વિચાર કર્યો? અંબાલાલે લગ્ન માટે હા પાડી. તેમણે સસરાને ત્યાં મુંબઈથી દરજી મોકલ્યા. રેવા માટે નવી ફેશનની સાડીઓ તથા બ્લાઉઝ બનાવવામાં આવ્યા. અંબાલાલનો વરઘોડો વર્ષો સુધી અમદાવાદીઓના દિલોદિમાગ પર છવાયેલો રહ્યો. રેવા પરણીને સાસરે તો આવ્યાં, પણ તેમની પાસે ઘરમાં પહેરવાનાં એક પણ સાદા કપડાં નહોતાં. તેમણે નણંદ પાસેથી કપડાં લીધાં. લગ્ન બાદ અંબાલાલે પત્નીનું નામ રેવામાંથી સરલાદેવી કર્યું. 18 વર્ષના અંબાલાલ શેઠને લોકો શેઠ સાહેબ ને 14 વર્ષનાં સરલાદેવીને ‘બાઈસાહેબ’ કહીને બોલાવવા લાગ્યા. અંબાલાલે પછી પિતાના નામને જ અટક બનાવી દીધી ને તેઓ અંબાલાલ સારાભાઈ તરીકે ઓળખાવા લાગ્યા. સરલાદેવીએ ભણવાનું ચાલુ રાખ્યુંલગ્ન બાદ તે સમયે સરલાદેવીએ અભ્યાસ બંધ કર્યો નહોતો. તેઓ મિસ ચબ દ્વારા ચાલતી મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજની ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં ભણતાં. તેમને અંગ્રેજી વાંચતાં-બોલતાં ને લખતાં આવડી ગયું હતું. સાહિત્ય ને ફિલોસોફી માટે ઘરે જ પ્રોફેસર આવતા. આધુનિક વિચારસરણી ધરાવતો આ પરિવાર સમાજ સુધારામાં પણ ઘણો જ આગળ રહ્યો છે. તે સમયે જાહેર પ્રસંગોમાં પુરુષોની સાથે સ્ત્રીઓ જોવા ના મળે. અંબાલાલ આ રિવાજની વિરુદ્ધમાં હતા. અંબાલાલ હંમેશાં પત્ની સરલાદેવીને લઈને જ જતાં. તે સમયે અંબાલાલ-સરલાદેવી ને રમણભાઈ નીલકંઠ-વિદ્યાગૌરી નીલકંઠ અચૂકથી જોવા મળે. અંબાલાલ શેઠ અમદાવાદના પહેલા ક્લીન શેવ્ડ પુરુષએવું નહોતું કે અમદાવાદ શહેરમાં માત્ર અંબાલાલ એક જ ગર્ભશ્રીમંત પરિવાર હતો, પરંતુ લૅવિશ લાઇફસ્ટાલની શરૂઆત અંબાલાલે જ કરી હતી તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ સાથે જ તેઓ સમાજ સુધારક વિચારોવાળા પણ હતા. સરલાદેવી ફૂલેલી પફ બાંયો સાથે લેસની ઝૂલોવાળા બ્લાઉઝ, સોનાની પાતળી ચેનવાળું લોકેટ, હીરાજડિત બુટ્ટી, શિફોનની સાડી તથા ઊંચી એડીનાં બૂટ સાથે લેટેસ્ટ હેરસ્ટાઇલથી સજ્જ જોવા મળતાં તો અંબાલાલ લીલા મખમલના ઇજાર (પેન્ટ),લોંગ કોટ, માથા પર જરી ભરત ભરેલી મખમલી ટોપી પહેરતાં. તેમના વસ્ત્રો અંગ્રેજી દરજીઓ તૈયાર કરતા. આ સાથે જ ગામા નીલમ હીરાની કંઠી તો હોય જ. 1912 પછી તેમણે કોટ-પાટલૂન તથા ઊંચી કાળી ટોપી પોશાક તરીકે અપનાવ્યા હતા, થોડા સમય બાદ તેમણે ટોપીનો પણ ત્યાગ કર્યો હતો. વાચકોને જાણીને નવાઈ લાગશે તે સમયે ગુજરાતના દરેક પુરુષોએ મૂછો રાખવી ફરજિયાત હતી, પરંતુ અંબાલાલે મૂછો કઢાવી ને તે અમદાવાદના પહેલા ક્લીન શેવ્ડ પુરુષ બન્યા. આ એક આંચકાજનક સુધારો હતો. ખરી રીતે, અંબાલાલ જે રિવાજ બુદ્ધિથી સમજાય તેવો ના હોય તે કોઈ રિવાજ પાળતા નહી જૈન હોવા છતાં તેઓ સૂર્યાસ્ત પછી જમતા. ઘરના ડાઇનિંગ ટેબલ પર ટમેટાં, ગાજર-મૂળા, બટેટા જોવા મળે. પતિ-પત્ની એકબીજાને નામથી બોલાવતાંઆજે પણ ગામડાંમાં પત્ની પોતાના પતિને નામથી બોલાવતી નથી. તે સમયે અંબાલાલ પત્નીને સરલાદેવી ને સરલાદેવી અંબાલાલ કહીને બોલાવતા. આટલું જ નહીં. તેઓ એકબીજાને ડિયર કે ડાર્લિંગ પણ કહેતા. તે સમયે લોકો જ્યારે આ શબ્દો સાંભળતા ત્યારે તેમની આંખો પહોળી થઈ જતી. ભારતમાં બ્રિટિશ રાજ હતું, પરંતુ અંબાલાલ શેઠના ઘરમાં યુરોપિયન બટલર તથા યુરોપિયન મહિલાઓ ગવર્નેસ તરીકે રહેતી. ઘરની સ્ત્રીઓ માથે ઓઢતી નહીઆ સમયે એવો હતો કે મહિલાઓ માટે અનેક બંધનો રહેતાં, પરંતુ અંબાલાલ સારાભાઈના ઘરમાં મહિલા કે પુરુષ એવો કોઈ ભેદભાવ જોવા મળતો નહીં. તેમના એક બહેન કાંતાબેનનું અવસાન થયું ત્યારે અનુસૂયા બહેન ઇંગ્લેન્ડમાં હતાં અને તેઓ અધવચ્ચે એક્ઝામ અધૂરી મૂકીને અમદાવાદ આવ્યાં. તેઓ અમદાવાદમાં ખુલ્લા માથે ને ખુલ્લી બગીમાં ફરતા. આટલું જ નહીં, તેઓ ક્યારેક સિગારેટ પણ પીતાં. જૈન હોવા છતાં જીવ હત્યા કરીસમાજ સુધારક હોવાથી સમાજમાં સતત સંઘર્ષનો ભોગ બનતા. કેલિકો મિલમાં કેટલાક કૂતરાં હડકાયાં થયાં હતાં. મજૂરોને કરડી જતાં. આથી આ કૂતરાંને ગોળીએ મારી નાખવામાં આવ્યાં. ‘વીરશાસન’ નામની પત્રિકામાં આ વાતનો વિરોધ કરવામાં આવ્યો. આ ઉપરાંત સત્યાગ્રહ આશ્રમમાં વાછરડું બીમાર પડ્યું અને તેને શીતળા નીકળ્યા. તેને દર્દમાંથી મુક્ત કરાવવા ગાંધીજીએ અંબાલાલને વાત કરી. તેમણે ડૉ. ટેકારિયાને બોલાવીને ગાંધીજીની મરજીથી વાછરડાંને દર્દનું ઇન્જેક્શન આપીને મુક્ત કર્યું. આ વાતનો પણ ઘણાએ વિરોધ કર્યો હતો. અમદાવાદમાં પહેલી મોટરકાર અંબાલાલ સારાભાઈ લાવ્યાઆ સમયે ગર્ભશ્રીમંત પરિવારો ઘોડાથી ખેંચાતી ખુલ્લી કે બંધ બગીમાં જ ફરતાં. કોઈની પાસે મોટરકાર નહોતી. 1910માં અંબાલાલ સારાભાઈ અમદાવાદમાં પહેલી મોટરકાર લઈને આવ્યા, પરંતુ કોઈને ગાડી ચલાવતા આવડતું નહોતું. ગાડી ચલાવવા માટે મુંબઈથી મૂછોવાળો એક શોફર ખાસ બોલાવવામાં આવ્યો હતો અને પછીથી તો અંબાલાલ પણ મોટરકાર ચલાવતા શીખી ગયા હતા. એ મોટર ચાલે એટલે અડધા માઇલ દૂરથી સરલાદેવીને ખબર પડે કે મોટર આવી, તેવો ધડાકાબંધ અવાજ આવતો. આજે તો આપણે પેરેન્ટ્સને મમ્મી-પપ્પા, મમ્મા-ડેડ કહીએ છીએ, પરંતુ અમદાવાદમાં આ શરૂઆત કોણે કરી તેનો ક્યારેય વિચાર આવ્યો છે? તે સમયમાં ગુજરાતમાં બાળકો પિતાને મોટાભાઈ ને માતાને મોટી બહેન કહેતા, પરંતુ અંબાલાલના પરિવારમાં મમ્મી-પપ્પા કહેવાનું શરૂ કર્યું. પરિવારમાં જ્યારે બાળકો તોફાન કરે તો ક્યારેય હાથ ઉપાડવાનો કે ગુસ્સે થવાનું અંબાલાલના ઘરમાં બને નહીં. સરલાદેવી જે બાળક તોફાન કરે તેને લઈને જાતે જ બાથરૂમમાં પુરાઈ જતાં. ઇંગ્લેન્ડમાં ગોરા નોકરો રાખ્યા, વિદેશથી ગવર્નેસ લઈ આવ્યા6 મે, 1912ના રોજ સરલાદેવીએ દીકરી મૃદુલાને જન્મ આપ્યો. 1912માં અંબાલાલ પરિવાર સાથે વિદેશ ગયાં ને ઇંગ્લેન્ડમાં સરલાદેવીએ દીકરી ભારતીને જન્મ આપ્યો. પછી દીકરા સુહૃદનો જન્મ થયો. ત્યારબાદ દીકરી લીના, દીકરો ગૌતમ, વિક્રમ ને પછી બે સંતાનોનો જન્મ થયો. અંબાલાલ જ્યારે ઇંગ્લેન્ડથી ભારત આવે તો થોડા દિવસ મુંબઈ રહે, ત્યાં તેમણે કફ પરેડ તથા મરીન લાઇન્સમાં ભવ્ય માલ્ડન હાઉસ બનાવ્યાં. ઘરમાં શાળા શરૂ કરવામાં આવી અને પછી બધાં સ્ટીમરમાં બેસીને ઇંગ્લેન્ડ ગયાં. તેમણે સાથે નર્સ તથા શિક્ષક કરુણાશંકરને પણ સાથે લીધા લંડનના હેમસ્ટેડ સબર્બમાં બાળકોને રહેવા અંબાલાલે ત્રણ માળનું ઘર ખરીદ્યું ને ઇંગ્લેન્ડમાં ગોરાઓને નોકર તરીકે રાખવામાં આવ્યા. ડેસ્લર તથા ઓસ્ટિન જેવી બે લક્ઝુરિયસ કાર પણ લીધી. બે યુરોપિયન શોફર સાથે પરિવારમાં કુલ 30 વ્યક્તિઓ હતાં. ભોજન માટે ચાંદીનું ડાઇનિંગ ટેબલ બનાવવામાં આવ્યું. ઇંગ્લેન્ડમાં તે સમયે સ્કૂલના ભોજનમાં માંસ મળતું અને અંબાલાલનો પરિવાર નોન-વેજ ખાતો નહોતો એટલે બાળકો ભૂખ્યાં રહેતાં. આ જ કારણે અંબાલાલે ઇંગ્લેન્ડમાં બીજું ઘર ખરીદીને ત્યાં બાળકો માટે ખાનગી શાળા શરૂ કરી. કલ્પના પણ ના થઈ શકે કે સરલાદેવીએ બાળકોને ભણવવા માટે એક અંગ્રેજ ગ્રેજ્યુએટને શિક્ષણની તાલીમ માટે ખાસ ઇટલી મોકલ્યો. 1921ના સમયાળામાં બહુ ઓછા ભારતીયો ઇંગ્લેન્ડમાં રહેતા. બાળકો માટે મિસ વિલિયમ્સ ટીચર રોકવામાં આવી. એ જ્યારે બાળકો સાથે બહાર નીકળે ત્યારે ગોરાઓ પણ મોંમાં આંગળાં નાખીને વિચારતા કે આ ભારતીય બાળકો સાથે કેમ છે? બાળકોને ઇંગ્લેન્ડમાં બહુ ફાવ્યું નહીં એટલે આખો પરિવાર ભારત આવી ગયો. બાળકોની સંભાળ માટે સરલાદેવી ઇંગ્લેન્ડથી યુરોપિયન ગવર્નેસોને લઈ અમદાવાદ આવ્યાં. ઇંગ્લેન્ડમાં અંબાલાલે પહેલી કંપની શરૂ કરીજે અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યું હતું, તે અંગ્રેજોના દેશમાં પહેલી ભારતીય કંપની શરૂ કરનારા અંબાલાલ સારાભાઈ હતાં. તેમણે લંડનમાં બકુભાઈ અંબાલાલ નામથી કંપની શરૂ કરી. માન્ચેસ્ટરમાં રહીને કાપડ ઉદ્યોગનો અભ્યાસ કર્યો ને પછી યુગાન્ડા, પૂર્વ આફ્રિકામાં મિલ નાખી ને ચરોતરના પટેલને ભાગીદાર બનાવ્યા. અમદાવાદની કેલિકો ને જ્યુબિલી મિલમાં નવા મશીનો આવ્યાં. ફાઇન કાઉન્ટ નામના કાપડનો નવો પ્રકાર શરૂ કરીને કાપડ ઉદ્યોગમાં ફેરફાર લાવ્યા. ત્યારબાદ કાચ, સાકર, તેલ, સાબુના માર્કેટમાં પણ ઝંપલાવ્યું. મુંબઈમાં સ્વસ્તિક ઓઇલ મિલ શરૂ કરી. બિહારમાં શુગર ફેક્ટરીમાં થોડો સમય રહ્યા. બનેવી બકુભાઈ ગુજરી ગયા તો વિધવા બહેન નિર્મળાબહેનને વેપારમાં સામેલ કર્યાં. તે સમયે મહિલાઓ વેપાર-ધંધામાં કામ કરતી નહોતી. દીકરીનાં લગ્ન કન્યાદાનની વિધિ વગર કરાવ્યાં1937માં અંબાલાલના દીકરી લીનાબહેને મદનમોહન સાથે પહેલા સિવિલ ને પછી વૈદિક રીતે લગ્ન કર્યાં. જોકે, તેમનો આગ્રહ હતો કે દીકરી કોઈ ચીજ-વસ્તુ નથી કે દાનમાં આપી શકાય. લગ્ન કન્યાદાનની વિધિ વગર કરવામાં આવે. તે સમયે આ એક ક્રાંતિ હતી. આખા ગુજરાતમાંથી એક પણ બ્રાહ્મણ આ રીતે લગ્ન કરાવવા તૈયાર ના થયો. અંતે પુનાના એક વિદ્વાન શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા. દીકરીના ઘરનું પાણી પણ પીવાય નહીં તેવી રૂઢિ હતી, પરંતુ અંબાલાલે આ રૂઢિ પણ તોડી નાખી. ઘરમાં જ્યોતિષને પ્રવેશ અપાતો નહીંઘરમાં ધાગા-દોરા, ભૂવા-જ્યોતિષ, તાંત્રિકોને પ્રવેશ આપવામાં આવતો નહીં. જન્માક્ષર બનાવવામાં આવ્યા નહોતા ને કોઈ પણ પ્રસંગ તિથિ કે મુહૂર્ત જોયા વગર જ કરવામાં આવતો. તેમનો નિયમ હતો કે કોઈ સગા કે જ્ઞાતિવાળાને નોકરીએ રાખવા નહીં આ જ કારણે સગાઓ સાથે કડવાશભર્યા સંબંધો પણ રહ્યા. તેઓ જાહેરખબર છપાવીને ઉચ્ચ લાયકાતવાળી વ્યક્તિને જ નોકરીએ રાખતા. રિટ્રીટ બંગલા આગળ ભવ્ય શબ્દ પણ ટૂંકો પડે!અંબાલાલે અમદાવાદમાં ભવ્ય ઘર બનાવવાનું નક્કી કર્યું અને આ માટે શાહીબાગ વિસ્તાર પસંદ કર્યો. હાલ જ્યાં શાહીબાગ અંડર પાસ છે તેની બાજુમાં 21 એકર થોરની વાડ હતી ને અંદર જૂનો બંગલો હતો. તે સમયે ત્યાં ચોરોનો ત્રાસ રહેતો. અંબાલાલે આ વિસ્તારમાં પોતાનું ભવ્ય ઘર બનાવ્યું. બંગલાની ડિઝાઇનનું કામ કવિ રવીન્દ્રનાથ ટાગોરના સાથી સુરેન્દ્રનાથ કરને આપવામાં આવ્યું. સુરેન્દ્રનાથે જ રવીન્દ્રનાથનાં ઘર ‘ઉત્તરાયણ’ તથા ટાગોરની વિખ્યાત માટીની કોટેજ ‘શ્યામોલી’ બનાવી હતી. 1937-38ના સમયગાળા દરમિયાન 60થી પણ વધુ રૂમવાળો બંગલો તૈયાર થયો. માર્બલ દેશ-વિદેશથી મગાવવામાં આવ્યાં. ધાબે ભોજન કરવું હોય તો ગરમાગરમ વાનગીઓ માટે અલગ લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી. રિટ્રીટ બંગલામાં અનેક જગ્યાએ પાણીના હોજ બનાવવામાં આવ્યા, તેમાં અલગ-અલગ કમળ, પોયણીઓ ઉગાડવામાં આવી. અમદાવાદમાં તે સમયે આટલો ભવ્યાતિભવ્ય બંગલો હતો જ નહીં. બંગલાની આગળ ખાસ ઇંગ્લેન્ડથી ગ્રીસની પ્રતિકૃતિવાળા વિનસનાં પૂતળાં મંગાવવામાં આવ્યાં. ઇટલીથી ખાસ ઝુમ્મરો આવ્યાં ને રિટ્રીટના ગાર્ડનમાં વિશ્વના તમામ પ્રકારના ગુલાબના છોડ વાવવામાં આવ્યા. ઊંચા વાસ ને અલગ-અલગ પામથી બંગલો આખો ઢંકાઈ ગયો. આ ઉપરાંત બંગલાની અંદર જ સંતરાની આખી વાડી બનાવવામાં આવી. અંબાલાલ સારાભાઈ વિશ્વની અલગ-અલગ વનસ્પતિઓ અંગે વાંચતા અને મંગાવતા. વનસ્પતિ પર બોટનિકલ નામ લખવામાં આવતાં. આટલું જ નહીં, પૂનાથી ખાસ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ બોલાવવામાં આવ્યા ને આખા બગીચાની સારસંભાળ માટે 30 જેટલા માળીઓ ને તેટલા જ સિક્યોરિટી ગાર્ડ હતા. સ્વિમિંગ પુલથી લઈને અનેક સુવિધાઓ રિટ્રીટમાં તો હતી જ. બગીચામાં અનેક પશુ-પંખીઓ હતાંબગીચામાં કાળિયાર મૃગ, હરણા, માઉસ ડિયર, નીલ ગાય, માંકડાં, સસલા, ઇરાની બિલાડીઓ, કૂતરાં, અલગ-અલગ કબૂતરો, સારસ-સારસી, જર્મની-ઇજિપ્તથી મોર લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તથા દ. અમેરિકાથી અનેક જાતના પશુ-પંખીઓ લાવવામાં આવ્યાં હતાં. બગીચામાં એટલા બધા પોપટો હતા કે રિટ્રીટ બંગલો તે સમયે ભારતમાં બેસ્ટ પોપટ સંગ્રહ માટે લોકપ્રિય થયો હતો. દૂધ દોહવા રબારીઓ, ઘોડાવાળા, વીસ જેટલા મજૂરો, ક્લીનર, શોફર્સ, વીસ જેટલા મજૂરો, દસ જેટલા શિક્ષકો પણ રહેતાં. આ બધાને સાચવવાનું કામ સરલાદેવી કરતાં. દેશ-દુનિયાના જાણીતા લોકો મહેમાન બનતાંએક દિવસ રવીન્દ્રનાથ ટાગોર રિટ્રીટ બંગલે રહેવા આવ્યા અને તેમણે અંબાલાલના દીકરા વિક્રમનું માથું ને કપાળ જોઈને કહ્યું હતું કે કેવો અસાધારણ મેધાસંપન્ન આ બાળક છે. રિટ્રીટમાં બાળ ગંગાધર ટિળક, ગોખલે, મોતીલાલ નેહરુ પત્ની ને દીકરા જવાહર સાથે આવ્યા હતા. આ ઉપરાંત વિજયાલક્ષ્મી, મિસિસ બેસેન્ટ, નાટ્યકલાકારો પણ મહેમાન બનીને રોકાયા હતા. સ્વિમિંગ પૂલમાં અંગ્રેજ અમલદારો આવતા. ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ક્રોકે ગ્રાઉન્ડ, ક્રિકેટનું મેદાન પણ હતું. ઘોડેસવારી માટે પણ અલગથી ટ્રેક હતો. બાઇસિકલ ટ્રેક ને બાળકો માટે ટ્રાઇસિકલ ટ્રેક પણ હતો. બપોરનું ભોજન પાટલા-બાજઠ પર ને રાત્રે ડાઇનિંગ ટેબલ પર યુરોપિયન ભોજન પીરસાતું. દેશ-વિદેશના મહેમાનો આ બંગલો જોઈને નવાઈ પામી જતા. લાઇબ્રેરીમાં 50 હજારથી વધુ પુસ્તકોઅંબાલાલ, સરલાદેવી તથા આઠ સંતાનોને વાંચનનો ઘણો જ શોખ હતો અને આ જ કારણે બંગલામાં બનાવવામાં આવેલી લાઇબ્રેરીમાં 50 હજારથી વધુ પુસ્તકો વસાવવામાં આવ્યાં હતાં. દુનિયાભરનાં અલગ-અલગ ભાષા ને અલગ-અલગ વિષય પરનાં પુસ્તકો હતાં. અંબાલાલ આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં તેમનો એક પણ દિવસ વાંચન વગર પસાર થતો નહીં. રિટ્રીટમાં બાળકો પોતાનો ખર્ચ જાતે ઉઠાવતાંઅંબાલાલે દરેક બાળકના જન્મ પછી પૈસાનો અમુક ભાગ આપ્યો હતો. કોની પાસે કેટલા રૂપિયા છે તેની વાત ક્યારેય ચર્ચાતી નહીં. બાળકોને કોઈ પણ પ્રસંગે રોકડા કે ભેટ આપવામાં આવતી નહીં. દરેક બાળકનું બેંકમાં અકાઉન્ટ રહેતું. ચેકબુક પર સહી કરીને દરેક બાળકે પોતાનું બિલ ચૂકવવાનું રહેતું. સાબુ કે જીવનજરૂરિયાતની વસ્તુઓનો ઓર્ડર જાતે કરીને તેનું બિલ જ્યારે આવે ત્યારે જે-તે બાળકે ચેકથી પેમેન્ટ કરવાનું રહેતું. દરેક બાળકના ખાતા પર સામાન્ય નજર રાખવામાં આવતી, પરંતુ પૈસા ખર્ચ કરવા માટે તેમણે ક્યારેય પિતાની મંજૂરી લેવી પડતી નહીં. અંબાલાલે આયોજન કરીને સંપત્તિનું વિભાજન કર્યું હતું. તે સમયે એવું કહેવાતું કે આવકવેરા ખાતાએ અંબાલાલ પરિવારના એસેસમેન્ટ માટે અલગથી એક ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો. દીકરી લીનાને યુનિવર્સિટીમાં નહીં પણ સાહિત્ય, ફિલોસોફી ને ઇતિહાસમાં રસ હતો. અંબાલાલે દીકરી માટે ઉત્તમ પ્રોફેસરો રોક્યા. લીનાબહેનને પ્રવાસનો શોખ હતો તેઓ એકલાં ભારતભરમાં ફર્યાં. વેકેશનોમાં ફરવા જાય ત્યારે પશુઓથી લઈ રસોડાનો સામાન સાથે લઈ જતાંઅંબાલાલ પરિવાર સાથે દર વર્ષે બહાર ફરવા જતાં. તેઓ માથેરાન અવાર-નવાર જતાં. ત્યાં તેમનો ‘બોમ્બે વ્યૂ’ નામનો બંગલો હતો. તેઓ જ્યારે માથેરાન ફરવા જતાં ત્યારે દૂધ માટે ભેંસો, ઘોડેસવારી માટે 10 જેટલા ઘોડા, ધોબી, ટાઇપિસ્ટને લઈને જતાં. એ સમયે માથેરાનમાં વીજળી કે નળ ના હોવાથી મશાલચી તથા પાણી લાવવા માટે ભિસ્તીની સ્થાનિક લેવલે વ્યવસ્થા થતી. રિટ્રીટ સ્કૂલના શિક્ષકો, લખવાનાં ઢાળિયાં, પાટિયાં, ચોપડી, ખડિયા, ચિત્રનો સામાન, સંગીતનાં સાધનો, વજનકાંટા, પાળેલાં પશુ-પંખીઓ, સાત ગલુડિયાં પણ સાથે જ હોય. એકવાર અંબાલાલ પરિવાર શિલોંગ ફરવા ગયો ત્યારે સુભાષચંદ્ર બોઝ ભાઈ-ભાભી સાથે મળ્યાં હતાં. ટ્રેનમાં જવાનું હોય તો રાંધવાનાં તપેલાં, શાકભાજી, રસોઈયા પણ આવતા. ટ્રેનમાં જ બધી રસોઈ કરવામાં આવતી. ઉનાળામાં તો બરફની પાટો પણ મૂકવામાં આવતી. એકવાર અંબાલાલ દીકરી ભારતીની દીકરી અનારને ડિપ્થેરિયા થયો તો તેઓ સ્પેશિયલ ચાર્ટર પ્લેન કરીને દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે માન સન્માન મળતુંકોઈ ચૂંટણી લડ્યા ના હોવા છતાંય અંબાલાલ સારાભાઈને અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે માન-સન્માન મળતું. 1915માં પહેલી જ વાર ગાંધીજી સાથે મુલાકાત1915માં ગાંધીજી અમદાવાદમાં અંબાલાલ સારાભાઈને મળ્યા અને ત્યારબાદથી તેમણે ગુપ્તદાન શરૂ કર્યું. સરલાદેવી ગાંધીજીની સાદગીથી પ્રભાવિત થયા. બાપુ પણ જ્યારે જરૂર હોય ત્યારે સરલાદેવી પાસેથી મદદ મગાવામાં શરમ કે સંકોચ અનુભવતા નહીં. ગાંધીજી હરિજનવાસમાં જમવા જતા ત્યારે અંબાલાલા-સરલાદેવી પણ જતાં. આ પરિવારે આભડછેટને તિલાંજલિ આપી દીધી હતી. ધીમે ધીમે આઝાદીની લડત દેશભરમાં વેગ પકડતી હતી. અંબાલાલ સારાભાઈ મિલ મંડળના પ્રમુખ હતા. તેમના બહેન અનસૂયા મિલ મજૂરોની સ્થિતિ જોઈને વ્યથિત થઈ ગયાં. અનસૂયાબહેને મિલ મજૂરો જે ચાલીમાં રહેતા ત્યાં જઈને તેમનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. અનસૂયાબહેન રિટ્રીટ બંગલો છોડીને સાબરમતી નદીના કિનારે તંબૂ બાંધીને રહેવા લાગ્યાં. ગાંધીજીની સલાહથી મજૂરોના પ્રશ્નો ઉઠાવ્યા ને મજૂરોએ હડતાળ પાડી. ગાંધીજીએ ઉપવાસ કર્યા અને તેમાંથી મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ અને પ્રમુખ તરીકે અનસૂયાબહેન નિમાયાં ને આજીવન રહ્યાં. મિર્ઝાપુરનો બંગલો ને આઉટહાઉસ મજૂરોના કામ માટે અનસૂયાબહેનને આપવામાં આવ્યો અને એની બાજુમાં અનસૂયા બહેનને અલગથી બંગલો ને એક મોટર આપવામાં આવી. આ ઉપરાંત અંબાલાલે બહેનના નામે એક બેંક ખાતું પણ ખોલાવ્યું ને તેમાં પૈસા આપતા. જોકે, તેઓ ક્યારેય બહેન પાસે પૈસાનો હિસાબ માગતા નહીં. અંબાલાલ સારાભાઈ કલ્પના બહારનું વિશાળ હૃદય ધરાવતા હતા. 1930માં અસહકારના આંદોલન વખતે અંગ્રેજોએ જ્યારે ગાંધીબાપુની ધરપકડ કરી ત્યારે અંબાલાલે અંગ્રેજોએ આપેલો ખિતાબ ‘કૈસરે હિંદ’ પાછો આપી દીધો હતો. 1942માં પરિવારના છ-છ સભ્યો જેલમાં હતાંઅંબાલાલનાં મોટા દીકરી મૃદુલાને હીરા-મોતી ને રેશમી વસ્ત્રોનો શોખ હતો. ગાંધીબાપુના સંપર્કમાં આવ્યા બાદ તેઓ સાદગીથી રહેવા લાગ્યાં. 14 વર્ષની ઉંમરે તેઓ આઝાદીની ચળવળમાં જોડાયાં. અબજોપતિનાં દીકરી હોવા છતાં સાબરમતી આશ્રમના બાંધકામમાં મજૂરી કરી, તગારાં ઊંચક્યાં. અંબાલાલે સ્વાતંત્ર્યસેનાનીઓ માટે મિર્ઝાપુર બંગલામાં હૉસ્પિટલ શરૂ કરી. અંબાલાલના ઘરમાં વિદેશી કાપડને બદલે ઘણા સભ્યો ખાદી પહેરવા લાગ્યા. મૃદુલાબહેન, ભારતીબહેન પિકેટિંગમાં જોડાયાં. ધોળકામાં ભાષણ આપતી વખતે સરલાદેવીને પકડવામાં આવ્યાં. મૃદુલાબહેનને ઘણા લોકો બોશી કે પઠાણ તરીકે ઓળખતાં. ગાંધીજી પાલડીમાં કોચરબ આશ્રમ બનાવી રહ્યા હતા ત્યારે મંગળદાસ ગિરધરદાસે પૈસા આપવાની ના પાડી, કારણ કે તેઓ આભડછેટમાં માનતા હતા અને તે આશ્રમમાં દલિતોને રાખવાના હતા. આ સમયે અંબાલાલે ગાંધીજીને 13 હજાર રૂપિયા આપ્યા હતા. 1932માં મૃદુલાબહેનની ધરપકડ થઈ ત્યારે અંબાલાલ-સરલાદેવી ભાંગી પડ્યાં અને તેમણે સંગીત સાંભળવાનું બંધ કરી દીધું. મૃદુલાબહેનને પછી પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં. દીકરીની નજીક રહેવા માટે અંબાલાલ પુણે રહેવા જતા રહ્યા. 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન અંબાલાલના પરિવારના મૃદુલાબહેન, નીમાબહેન, ઇન્દુબહેન, ગિરાબહેન, ભારતીબહેન તથા ગીતાબહેન એમ છ સભ્યો જેલમાં હતાં. ચાંદીનું ફાનસ તૂટી ગયું...1967માં અંબાલાલ સારાભાઈનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું. સરલાદેવીએ નર્મદાના કિનારે વ્યાસતીર્થ ખાતે પુત્ર ને પતિના અસ્થિને દૂધથી ધોઈને નર્મદાના પ્રવાહમાં વિસર્જન કર્યું, પરંતુ તેમની સાથે એક પણ બ્રાહ્મણ નહોતો. રણોલીના અતિથિગૃહના બાજઠ પર સરલાદેવીએ ચાંદીના મઢેલા કાચના ફાનસમાં અખંડ દીવો પ્રગટાવ્યો હતો. તડાક કરતાં અવાજ સાથે ફાનસ ફાટી ગયું ને દીવો ઓલવાઈ જતાં એક યુગનો અંત આવ્યાનો અહેસાસ થયો. આઠ વર્ષ બાદ 1975માં સરલાદેવીનું અવસાન થયું. સંતાનો શું કરે છે... રેફરન્સ બુક્સઃએરિસ્ટોક્રેટઆધુનિક ગુજરાતના પથદર્શક ઉદ્યોગપતિઃ અંબાલાલ સારાભાઈ (આવતીકાલે, લક્ષાધિપતિના બીજા એપિસોડમાં વાંચો, ધીરુભાઈ અંબાણી અંગે. કેવી રીતે અંબાણી પરિવારે આ સામ્રાજ્ય ઊભું કર્યું. પરિવારની ત્રીજી પેઢી આજે શું કરે છે અને ધીરુભાઈએ નાનપણમાં કેવા કેવા સંઘર્ષો કર્યા હતા?)

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 6:00 am

ઠરાવ:કચ્છની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 156 શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવાયા

ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં 15મી નવેમ્બરે અનુદાનિત હાઈસ્કૂલના 156 શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવાયાના હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ રખાયો હતો. લાભ પાત્ર તમામ શિક્ષકોની દરખાસ્ત ગાંધીનગરમાં કરાઈ હતી, જેમાંથી 156ના આદેશ આવી ગયા છે. ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીના કમિશનરને 2005ની 1લી એપ્રિલ પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા ઠરાવ થયો હતો. લાભ પાત્ર તમામ શિક્ષકોની દરખાસ્ત ગાંધીનગરમાં કરાઈ હતી, જેમાંથી 156ના આદેશ આવી ગયા છે, જેથી કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને એન.પી.એસ. ટુ ઓ.પી.એસ. આદેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભમાં બીપીનભાઈ વકીલે સાૈને આવકાર્યા હતા. જી.પી.એફ. ખાતા ખોલાવવા જરૂરી સૂચના આપી હતી. પ્રક્રિયા નોડ અધિકારી દ્વારા સંપન્ન કરાઈ હતી. જે પ્રસંગે સિનિયર ક્લાર્ક બીપીન નાગુનું સન્માન કરાયું હતું. આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, શિક્ષક સંઘના પ્રમુખ મનીષ પટેલ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પંકજ દહીસરિયા, બોર્ડ મેમ્બર દિવ્યરાજસિંહ જાડેજા, શૈક્ષિક સંઘના મુરજી મિંઢાણીએ બાકી રહેલાને ઓ.પી.એસ. અપાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જૂની પેન્શન યોજનાનો લાભ લેનારા શિક્ષકોમાં શશીકાંત તેજવાણી, રેખાબા જાડેજા વગેરેનો સમાવેશ થયો છે. કાર્યક્રમમાં ઈનચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, એન.એ. મનસુરી, વનીતાબેન મહિડા, સુહાસિનીબેન તન્ના હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન ચોકસીએ કર્યું હતું. અમિત ધોળકિયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કમલેશ અબોટી, પોરબાઈ માંકડ, અબ્દુલ સુમરા, નીલ કનૈયાએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:59 am

મિત્ર સાથે ઠગાઈ:રાજ્યપાલની સહીવાળો એપોઇન્ટમેન્ટ લેટર આપી રૂ.7.50 લાખ પડાવ્યા

ઠગ દંપતીએ 15 વર્ષ જૂના મિત્ર અને સંબંધીને સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી હોવાનું કહી સરકારી નોકરી અપાવાના બહાને રૂ. 7.50 લાખ પડાવ્યા હતા. પછી ગુજરાત સરકારના સિક્કા અને રાજ્યપાલની સહીવાળો એપોઇન્મેન્ટ લેટર અને આઈકાર્ડ આપ્યા હતા. 10 મહિને પણ પોસ્ટિંગ ન મળતાં વેપારીએ ગાંધીનગર જઈ ખરાઈ કરતાં બંને ખોટા હોવાનું જણાયું હતું. નવા નરોડા રહેતા અને નવરંગપુરામાં ફુરાયતો ટ્રેડલિંક કરન્સી મૅનેજમેન્ટનું કામ કરતા મયૂર જોશી (37)ને નવેમ્બર, 2024માં કોમલબેન અને તેના પતિ આનંદ ત્રિવેદી (સુભાષનગર, ભાવનગર) સાથે મુલાકાત થઈ હતી. કોમલબેન મયૂરના 15 વર્ષ જૂના મિત્ર અને કુટુંબી હતા. તેમણે, બંને સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી છે તેવું કહી રૂ. 25 લાખમાં સરકારી નોકરી અપાવાનું મયૂરભાઈને કહ્યું હતું. સાથે જ સારી પોસ્ટ પર સારી જગાએ પોસ્ટિંગની વાત કરતાં મયૂરે 7.50 લાખ ચૂકવ્યા હતા. પછી કોમલે 16 જાન્યુઆરી, 2025એ એપોઈન્મેન્ટ લેટર મોકલ્યો હતો. તે લેટર પર ગુજરાત સરકારનો સિક્કો અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સહી હતી. તે લેટર પર કોન્ફિડેન્શિયલ તથા ગુજરાત સરકારના પત્ર ક્રમાંક નંબર જેવી વિગતો લખેલી હતી. જોઇનિંગ વિશે પૂછતાં બંનેએ ગલ્લાં-તલ્લાં કરતાં મયૂરે ગાંધીનગર જઈ ખરાઈ કરતાં લેટર અને આઈકાર્ડ ખોટા હોવાનું જણાતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:57 am

ઠગ ઝડપાયા:25 કરોડનું કાપડ લઈને ભાગેેલા 3 ગઠિયાને વેપારીઓએ જ પકડ્યા

શહેરનાં વિવિધ માર્કેટના વેપારીઓ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો પાસેથી કાપડ મગાવી, 20થી 25 કરોડનો જથ્થો લઈ ચુકવણી કર્યા વગર શનિ સુખિયાની, અજય સુખિયાની અને મહેશ સુખવાણી ફરાર થઈ ગયા હતા. 45 વેપારીના રૂપિયા ડૂબતાં વેપારીઓએ મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનો સંપર્ક કર્યો હતો. મસ્કતી કાપડ મહાજનની દોડધામ અને ક્રાઇમ બ્રાંચની તપાસને અંતે આરોપીઓ નાટકીય ઢબે બૅંગલુરુથી પકડાયા હતા. વેપારીઓની ટીમ લઈને ગૌરાંગ ભગત પોલીસ કમિશનર પાસે ગયા હતા અને EOW ક્રાઇમ બ્રાંચ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. વેપારીઓએ પણ તપાસ ચલાવી હતી અને આરોપીઓની હિલચાલ વિશે માહિતી એકત્ર કરી EOWને આપી હતી. દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેય સસ્તામાં કાપડ વેચીને સોનું ખરીદી રહ્યા હતા અને બૅન્કોમાંથી મોટી રકમ ઉપાડી ચુક્યા હતા. વધુમાં, આધાર કાર્ડનું એડ્રેસ બદલી નવા પાસપોર્ટ માટે અરજી કરવાની કોશિશ પણ કરી હતી. આધારમાં એડ્રેસ બદલવાની જાણકારી વેપારીઓને મળી જતા આ અંગેની માહિતી ક્રાઇમ બ્રાંચને આપતા સતર્ક થઈ ગયા. આ માહિતીના આધારે EOWની ખાસ ટીમ અને વેપારીઓનું ગ્રુપ પ્લેનમાં જ બૅંગલુરુ પહોંચ્યા અને આરોપીઓના સરનામે દરોડો પાડતાં ત્રણે ઝડપાઇ ગયા હતા. ધરપકડ બાદ વેપારીઓએ ઍરપોર્ટ પર ભગતનું સન્માન કર્યું હતું. કારણ કે તેમની ચુસ્ત કામગીરીથી આરોપીઓ સુધી પહોંચી શકાયું. ગોરાંગ ભગતે જણાવ્યું કે, આ સમગ્ર ઓપરેશન શહેરની ટેક્સટાઇલ માર્કેટ માટે મોટો સંદેશ છે, છેતરપિંડી કરનાર કેટલું પણ દૂર ભાગે, વેપારીઓ એકતા અને સતર્કતા રાખે તો કાયદો તેમને પકડી જ લે છે. આરોપીઓનું સરઘસ કાઢવા માગણી કરાઈમોહન સાડી, જયશ્રી ક્રિએશન અને રિદ્ધિ ટેક્સટાઇલના માલિકો શનિ, અજય અને મહેશ બૅંગલુરુ ભાગી ગયા હતા. છેતરપિંડી કરનારાઓને કડક સંદેશ મળે અને ભવિષ્યમાં કોઈ વેપારી સાથે ઠગાઈ કરવાની હિંમત ન કરે તે માટે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે એવી વેપારીઓ અને મસ્કતી મહાજને માગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:56 am

રાજકોટ સિવિલમાં દવા સાથે દારૂ!:કેમ્પસમાંથી બોટલો મળી; 'ઓવર સ્માર્ટ' મીટરથી ખેડૂતને 50,000નું બીલ

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:55 am

મંડે પોઝિટીવ:ન્યાય અને સમાનતા અપાવતી દેશની પ્રથમ 24X7 સેવા ‘સંગાથી’એ 1 વર્ષમાં 1539 અરજીનો નિકાલ કર્યો

મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને પછાત લોકોને ન્યાય મેળવવામાં આવતી અડચણો દૂર કરવા ગુજરાત કાનૂની સેવાસત્તા મંડળે વર્ષ પહેલાં શરૂ કરેલા ‘સંગાથી-વિક્ટિમોલૉજી સેન્ટર’માં અત્યાર સુધીમાં 1539 અરજીનો નિકાલ કરાયો છે. અહીં 24 કલાક મદદ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા સાથે હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે કરેલી પહેલમાં વડી અદાલતના ન્યાયમૂર્તિ અલ્પેશ કોગ્ઝે, જિલ્લા ન્યાયાધીશ હેતલ પવાર અને પ્રોજેક્ટ અધિકારી તરીકે વરિષ્ઠ સત્ર ન્યાયાધીશ બી. એસ. ગઢવી જોડાયા છે. કોર્ટમાં જ નહીં, કોર્ટની બહાર પણ સમાનતા કે ન્યાય મેળવવામાં વિલંબ થતો હોય તો કેન્દ્રની મુલાકાત લઈ શકાય છે. માતાનું કેન્સરથી મૃત્યુ થતાં બાળક પિતાને સોંપ્યો8 વર્ષના અક્ષય (નામ બદલ્યું છે)નો જન્મ થયાના થોડા જ સમયમાં માતા-પિતા વચ્ચે અણબનાવ થયો. બન્નેએ છૂટાછેડા લીધા. પત્ની નવજાત બાળક સાથે પિયર આવી ગઈ. બાળક સમજણો થયો ત્યારે તે પિતાને જાણતો નહોતો. એટલે નાનાને જ પિતા કહીને બોલાવતો. માતા નોકરી કરતી હતી ત્યાં સુધી ભરણપોષણનો પ્રશ્ન નહોતો પરંતુ સમય જતાં માતાને કેન્સર થયું અને બાળક 8 વર્ષનો થયો ત્યારે માતાનું મૃત્યુ થઈ ગયું. હવે નાના-નાનીને તેનો ઉછેર કરવામાં મુશ્કેલી શરૂ થઈ. આથી તેમણે પિતાને બાળકની કસ્ટડી સોંપવા અથવા ભરણ-પોષણ માટે રકમ આપવા અરજી કરી હતી. સંગાથી કેન્દ્રે બાળક પિતાને સોંપવાનો નિર્ણય કર્યો પણ બાળક પિતાને ઓળખતો જ નહોતો એટલે તેને પિતાની સમજ આપી. હેલ્પલાઇન 15100 પર સંપર્ક સાધી શકાયકાનૂની સલાહ માટે ટોલ ફ્રી નંબર 15100 શરૂ કરાયો છે. 24 કલાક 365 દિવસ સંપર્ક સાધીને કોઈ પણ સ્થળેથી કાયદાકીય માહિતી કે મદદ મેળવી શકાય છે. ઉપરાંત કોઈ પીડિત માનસિક રીતે ત્રસ્ત હોય તો તેના માટે પણ કાઉન્સેલિંગ સેન્ટર બનાવાયું છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:53 am

ઠગાઈ:સસ્તા ભાવે સોનાની લાલચ આપીને ગોરવાની કંપનીના ટીમ લીડરે કર્મીના 31.46 લાખ ઠગ્યા

ગોરવાની આર્ચર ટ્રાન્સનેશનલ સીસ્ટમ પ્રા.લીના ઓપરેશન વિભાગના ટીમ લીડરે સાથી કર્મીને સસ્તા ભાવે સોનું અપાવવાના નામે રૂ.31.46 લાખ મેળવી લઈને છેતરપિંડી કરી હતી. સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. કંપનીના ટીમ લીડર જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપુરોહિતે (રહે, આદિત્ય એમ્પાયર, વાસણા ભાયલી રોડ, મુળ-મુંબઈ)શિવમ રાજેન્દ્ર ટોકરકરને કહ્યું હતું કે, તમારે સોનું, ટીવી, એસી, ફોન લેવા હોય તો સસ્તામાં અપાવીશ. પહેલાં તેણે વસ્તુઓ સસ્તામાં અપાવી હતી. બાદમાં સસ્તુ સોનું ખરીદી આપશે તેમ કહી 25 દિવસમાં 52 તોલા સોના માટે રૂ.43.46 લાખ લઇ કરાર કરી ચેક આપ્યા હતા. પછી સોનું ન આપી 12 લાખ પરત કરી બાકીના રૂ.31.46 લાખની ઠગાઇ કરી હતી. 35 લોકોના 1 કરોડ ઠગ્યા હોવાની વકીજીતેન્દ્રસિંઘે તેની કંપનીના જ 35થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઠગાઈની રકમ 1 કરોડ સુધીની થઈ છે. તે બે વર્ષથી નોકરી પર હતો. સુત્રો મુજબ કંપનીમાં ઠગાઈને કારણે એક વ્યક્તિને એટેક પણ આવી ગયો છે. કેટલાકે ગોરવા, બાપોદ, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તે ઠગાઈને મે મહિનાથી ભાગી ગયો છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:52 am

મિત્રે જોયું તો મૃત હતો:ફતેગંજ પીજીમાં રહેતો કાશ્મીરી વિદ્યાર્થી દોઢ દિવસ સુધી સૂઇ રહ્યો

ફતેગંજમાં પીજીમાં રહેતા અને ખાનગી યુનિ.માં એમબીએના બીજા વર્ષમાં ભણતા કાશ્મીરી વિદ્યાર્થીનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો હતો. જેથી શનિવારે રાત્રે ફતેગંજ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ રૂમમાં ખસેડ્યો હતો. યુવક લાંબુ સુવાની આદત ધરાવતો હોવાથી મિત્રો તે ઉંઘતો હોવાની ગફલતમાં રહ્યા હતા, દોઢ દિવસે સાથે રહેતો મિત્ર તેને ઉઠાડવા ગયો હતો જ્યાં તેને કાશ્મીરી યુવક મૃત હોવાનું જણાયું હતું. કાશ્મીરના ગતીક દાસ સાથે 2 અન્ય યુવાનો પણ રહેતા હતા. થોડા સમયથી એક રૂમમેટ તેના વતન ગયો હતો. શુક્રવારે રાત્રે ગતીક ફિલ્મ જોવા ગયો હતો અને 1 વાગે પરત ફર્યો હતો. તેનો બીજો રૂમમેટ સવારે નોકરી ગયો હતો. તે ઘરે આવ્યો પણ ત્યારે ગતીક સુતો હતો. તેને વધુ સુવાની આદત હોવાથી રૂમમેટે તેને ઉઠાડ્યો નહતો અને ફરી નોકરીએ જતો રહ્યો હતો. શનિવારે સવારે પણ તે સુતેલો જ હતો. મોડી સાંજે રૂમમેટ આવ્યો ત્યારે શંકા જતા ગતીકને ઉઠાડતાં ઉઠ્યો નહોતો. તેણે 108 અને પોલીસને જાણ કરી હતી. ગતીકને ગોત્રી જીએમઈઆરએસના તબીબે મૃત જાહેર કર્યો હતો. લાંબી ઊંઘ પાછળ તાણનું કારણ પણ હોઈ શકે છેજો વ્યક્તિ સતત ઊંઘ્યા જ કરતો હોય તો તે એક પ્રકારની સમસ્યા છે, જેને નાર્કોલેપ્સી કહેવામાં આવે છે. આવા વ્યક્તિઓમાંથી કોઇકને નશો કરવાની આદત પણ હોઈ શકે છે. આ ઉપરાંત તે તાણમાં પણ હોઈ શકે છે. વ્યક્તિને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર પણ હોઈ શકે છે. જો વ્યક્તિ લાંબા સમય સુધી ઊંઘ્યા કરતો હોય તો તેનુ મેડિકલ પરીક્ષણ કરાવવું જોઈએ > ડો હિમાંશુ ચૌહાણ, મનોચિકિત્સક

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:51 am

ભાસ્કર ઈનસાઈડ:ગિરીરાજ ડેવલોપર્સના 3 બિલ્ડર સહિત 8 સામે 3.47 કરોડની ઠગાઈની ફરિયાદ

ગીરીરાજ ડેવલોપર્સ પેઢીના ત્રણ બિલ્ડર અને 5 મળતીયાએ રણોલી બીઓબીમાંથી ગેરરિતી કરી રૂ.3.47 કરોડ લોન લઇ ઠગાઈ કરી હતી. ખોટી ફર્મ, ઓવર વેલ્યુના રિપોર્ટ, ટાઇટલ ક્લિયરન્સ સહિત બનાવી છેતરપિંડી કરી હતી. જવાહરનગર પોલીસે 8 સામે ગુનો નોંધ્યો છે. બેંકમાં સીસી અને હોમલોનમાં ગેરરિતી અંગે ઝોનલ ઓફિસમાં ફરિયાદ થઈ હતી. ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, ગીરીરાજ ડેવલોપર્સે તરસાલી ખાતે બનાવેલા પલાસ હાઇટ્સના ફ્લેટ અને દુકાનો તથા બાપોદના રાધે ગોવિંદ ડુપ્લેક્ષની દુકાન પર થયેલી વિવિધ સીસી અને હોમલોનમાં ગેરરિતી થઈ છે. લોન 2022થી 2024 દરમિયાન થઈ હતી. ગીરીરાજ ડેલવોપર્સના મૃણાલીની શાહ, મોનાર્ક શાહ અને મૃતક મોહનીશ પંડ્યા ભાગીદાર છે. તેમની સાથે સીંગ એસોસિએટના માલિક ધીરેન્દ્રસિંહ સીંઘ ડાયરેક્ટ સેલિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેઓએ સાથે મળી પાદરા એસબીઆઈમાંથી રૂ.4.95 કરોડની લોન તરસાલીની સર્વે નં.578/579ની જમીન પર લીધી હતી. પલાસ હાઇટ્સની પ્રોજેક્ટ લોનના નિયમોનો ભંગ કર્યો હતો અને બેંકની પૂર્વ મંજૂરી કે એનઓસી લીધા વગર પસાલ હાઇટમાં ફ્લેટ-દુકાનો પર નોટરી અને રજીસ્ટર બાનાખતથી રણોલીની બીઓબીમાંથી લોન લીધી હતી. બેંક સાથે કુલ રૂ.3.49 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. પોલીસે મૃણાલીની ચિરાગભાઈ શાહ, મોનાર્ક ચિરાગભાઈ શાહ, મૃતક મોહનીશ મુકુંદ પંડ્યા, ધીરેન્દ્રસિંહ બટેશ્વરસિંહ સીંગ, મૃતક પ્રવિણસિંગ હરિસિંગ રાજપુત, કેવિન કિશોરભાઈ કરકર, શુભમ શૈલેષભાઈ ગજ્જર તથા મનોજ નરસિંહભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો છે. ધીરેન્દ્રસિંહ સિંગ લોનનું કામ કરતો, બેંક કર્મી સાથે મળી લોન કરાવી? તપાસ શરૂધીરેન્દિરસિંહ સીંગ બીલ્ડર ભાગીદારો સાથે ડાયરેક્ટ સેલિંગ એજન્ટ તરીકે કામ કરતો હતો. તે લોન કરાવવાનું પણ કામ કરતો હોવાનું સુત્રોએ કહ્યું હતું. તે તમામ બેંકની પ્રક્રિયા જાણતો હતો. ત્યારે તેને રણોલીની બીઓબી બેંકના કર્મી સાથે મળીને લોનો કરાવી હોવાનું બની શકે છે તેમ પોલીસ માની રહી છે. જોકે પોલીસ દ્વારા તે અંગે તપાસ કરાશે, જ્યારે બીજી બાજુ બેંક દ્વારા પણ કોઈની સંડોવણી છે કે કેમ? તેની અલગથી આંતરિક તપાસ શરૂ કરી દેવાઈ છે. ત્યારે મૃણાલીની શાહ સામે અગાઉ પણ ઠગાઈનો કેસ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. 8 સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરાઈબેંકની આંતરિક ઓડિટમાં ગેરરિતી થઈ હોવાનું જણાયું હતું. છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. પેઢીના ત્રણ બિલ્ડર સહિત 8 સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ શરૂ કરી છે.> એ.એમ.પરમાર, પીઆઈ, જવાહરનગર પોલીસ સ્ટેશન. ખોટા દસ્તાવજ રજૂ કરી લોન લીધી, અને ધંધાની જગ્યાએ અન્ય જગ્યાએ રૂપિયાનો ઉપયોગ કર્યો​​​​​​​પ્રવિણસિંગ તથા કેવિને પલાસ હાઇટની દુકાનનું ટાઇટલ ક્લિયરન્સ સર્ટી કઢાવી તથા ઓવર વેલ્યુનો રિપોર્ટ બનાવ્યો હતો. કેવિને પેરિગ્રીન ફર્મ ઉભી કરી રૂ.50 લાખની સીસી મેળવી હતી. શુભમ અને પ્રવિણસિંગે દુકાનના રિનોવેશન કરાવવા રૂ.50 લાખની ટર્મ લોન મેળવી હતી. શુભમે ખોટી ફર્મ ઉભી કરી દસ્તાવેજ બેંકમાં આપ્યા હતા. મનોજે રાધીકા વેજીટેબલના નામે રૂ.50 લાખની લોન લીધી હતી. તમામે લોનનો ઉપયોગ અન્ય જગ્યાએ કર્યો હોવાનું ખુલ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:50 am

સેન્ટ્રલ આઇબી સહિત એજન્સીઓ ધમધમી:વડોદરા એરપોર્ટ પર મૈસૂરના શખ્સ પાસે તુર્કીના હથિયારના કારતૂસનું ખોખું મળ્યું

વડોદરા એરપોર્ટ પરથી મૈસૂરના એક શખ્સના સામાનમાંથી તુર્કીના એક વેપનની કારતૂસનું ખોખું પકડાતા સુરક્ષા એજન્સીએ પૂછપરછ કરી છે. મુસાફર તુર્કીથી મુંબઇ થઇ વડોદરા આવ્યો હતો. આતંકવાદીઓ ઘટનાઓ બનતી હોવાથી વડોદરા એરપોર્ટ પર સઘન ચેકિંગ થઇ રહ્યું છે. શનિવારે સવારે આ વ્યક્તિ વતન મૈસૂર જતો હતો ત્યારે ચેકિંગમાં કારતૂસ પકડાઇ હતી. હરણી પોલીસ મુજબ મુસાફર પાસેથી પકડાયેલી આ ખાસી કયા વેપનની છે તે જાણવા એફએસએલમાં મોકલાયું છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, 45 વર્ષીય આ શખ્સ મૂળે મૈસૂરનો છે. તેનું નામ પવન હનુમાન થાપા એસ. છે. ત્યાં ખાનગી કંપનીમાં મેનેજર છે. 12મી નવેમ્બરે તે તુર્કીના ઇસ્તંબૂલ ગયો હતો અને 13મીએ મુંબઇ પરત ફરી વડોદરા આવ્યો હતો. મકરપુરા જીઆઇડીસીમાં કામસર આવ્યો હતો અને બે દિવસ બાદ મૈસૂર જઇ રહ્યો હતો. બે દિવસ દરમિયાન તે ભાયલીની હયાત રિજન્સીમાં રોકાયો હતો. તેણે પોલીસને આ ખાલી કારતૂસ તુર્કીમાં મળી હતી અને ત્યારે ઉઠાવી હતી. બેગમાં ભૂલથી રહી ગઇ હોવાનું કહ્યું હતું. સેન્ટ્રલ આઇબી, લોકલ આઇબી અને એસઓજી સહિતની એજન્સીઓ તપાસ કરી હતી. હજી સુધી કોઇ શંકાસ્પદ માહિતી પોલીસને તેની પાસેથી સાંપડી નથી. એક ઇન્ટરનેશનલ અને એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ કારતૂસ કેમ ના પકડાઇ તે સૌથી મોટો સવાલપવન થાપા સવારે મુંબઇની ફ્લાઇટ પકડીને મુંબઇ અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઇટથી મૈસૂર જવાનો હતો. તેના દાવા મુજબ કારતૂસના ખોખાની વાતથી તે આ દરમિયાન અજાણ હતો. બીજી તરફ તે તુર્કીથી મુંબઇ આવ્યો ત્યારે અને મુંબઇથી વડોદરા આવ્યો ત્યારે પણ તેના સ્કેનરમાં આ કારતૂસ કેમ ન આવી. તે મુદ્દે પણ પોલીસને હજી તપાસ કરવાની બાકી છે. આ મુદ્દે હજી કોઇ જાણકારી જાહેર કરાઇ નથી. અગાઉ 12મી સપ્ટેમ્બરે પણ બ્રિટિશ નાગરિક ખાલી કારતૂસ સાથે વડોદરા એરપોર્ટ પર પકડાયો હતોગત 12મી સપ્ટેમ્બરે 48 વર્ષનો એક બ્રિટિશ નાગરિક વડોદરા એરપોર્ટ ખાતે ખાલી કારતૂસ સાથે પકડાયો હતો. તે રણોલીનો હતો અને દિલ્હી જવા ઉપડ્યો હતો. તે સમયે તેણે આ કારતૂસ અંગે પોતે અજાણ હોવાનું રટણ ચલાવે રાખ્યું હતું. જોકે ખાલી કારતૂસ સાથે મુંબઇ, દિલ્હી અને ગ્વાલિયર એરપોર્ટ પરથી પણ મુસાફરો પકડાયા હોવાના બનાવો બન્યાં છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:49 am

ભાસ્કર ઈનસાઈડ:સરકારના 4 અધિકારીએ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડના 140 પૈકી 20 રસ્તાના નમૂના લીધા

રાજ્યમાં ચોમાસા દરમિયાન રોડ ધોવાઈ જવાની અને ખાડા પડવાના કારણે લોકોને થયેલી પરેશાની સાથે સરકારની થયેલી બદનામી બાદ મુખ્યમંત્રી નારાજ થયા હતા. તેઓએ ડિફેક્ટ લાઈબિલિટી પિરિયડમા તૂટેલા રોડના કારણે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની સૂચના આપી હતી. ત્યારે સરકાર દ્વારા ગઠિત કરાયેલી ટીમે વડોદરામાં રોડની ચકાસણી કરી 20 રોડના નમૂના ચકાસ્યા હતા. ચોમાસામાં રાજ્યના મહાનગરો અને નાના શહેરોમાં રોડની હલકી કક્ષાની કામગીરીના કારણે આખે આખા રોડ ધોવાઈ જવા સાથે મસ મોટા ખાડા પડવાની ઘટનાઓ બની હતી. જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી. બીજી તરફ સરકારની પણ ભારે બદનામી થઈ હતી. આ વર્ષે મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડના રોડમાં પડેલા ખાડા અંગે ટકોર કરી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા સહિતની સૂચના આપી હતી. ત્યારબાદ વડોદરા શહેરમાં પણ રોડ પરના ખાડા પૂરવા માટે પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ હતી. તેવામાં રાજ્ય સરકાર દ્વારા ગઠિત કરાયેલી ટીમના જીયુડીસીએલના સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયર મહેશ ચૌધરી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર શૈલેષ ભટ્ટ અને ડેપ્યુટી એન્જિનિયર આર.સી. રાવલ સહિત 4 અધિકારીએ શનિવારે વડોદરાની મુલાકાત લીધી હતી. વડોદરામાં 140 ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડ હેઠળના રોડ પૈકી ભાયલી, સમા, દુમાડ અને ગોત્રી તેમજ આઉટગ્રોથ વિસ્તારના 20 રોડની ચકાસણી કરી હતી. આગામી દિવસોમાં તેના રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેવી માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરામાં રોડ તુટી જવા, ઉખડી જવા, ખાડા પડવા, ભૂવા પડવા સહિતની સમસ્યાથી નાગરિકો ત્રાસી ગયા હતા. કેટલાંય નાગરિકોએ પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી. ચાર અધિકારીઓની ટીમે રોડની ઘનતા, જાડાઈ, કોમ્પેક્શન અંગે ચકાસણી કરીજીયુડીસીએલના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર સહિતની ટીમ શનિવારે વડોદરા આવી હતી. ટીમે કોર કટીંગ મશીનની મદદથી રોડનું ડીબીએમ (ડેન્સ બીટ્યુમિન્સ મેકાડમ) અને બીસી (બીટ્યુમિન્સ કોંક્રિટ)ની ચકાસણી કરી હતી. જેમાં મશીનથી રોડના છેડે હોલ કરી નમૂના લઈ તેની ચકાસણી કરી હતી. આધારભૂત સૂત્રો મુજબ આ રોડ ક્યારે બન્યો, કેટલા સમયમાં પૂર્ણ થયો, તેનો ડિફેક્ટ લાઇબિલિટી પીરીયડ કેટલો છે અને કેટલા કરોડના ખર્ચે રોડ બન્યો તે સહિતની વિગતો લઈ કોરના નમૂનાઓના પરિણામ પણ લઈ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આગામી બે દિવસમાં આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેવી જાણકારી મળી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:47 am

વાનરનો આતંક:ભાયલીમાં વાનરે 3 દિવસમાં 6 લોકોના પગ પકડી પગે જ બચકાં ભર્યાં, કેળાંની લાલચે 5 કલાકે રેસ્ક્યૂ

ભાયલીમાં 3 દિવસથી લોકોને બચકા ભરી કહેર મચાવનાર વાંદરાને વનવિભાગે રવિવારે બપોરે પકડતા ભાયલીની સોસાયટીઓના લોકોએ હાશ થઇ છે. વાંદરાએ 6 લોકોને ફક્ત પગ પકડીને પગે જ બચકા ભર્યા હતા. વનવિભાગે રવિવારે ભારે જહેમતે કેળા-બિસ્કિટથી લલચાવીને વાંદરાને 4 કલાકે પાંજરે પૂર્યો હતો. વનવિભાગના રેસ્ક્યૂઅરના જણાવ્યા મુજબ વર્ચસ્વની લડાઇમાં હાર્યા બાદ આ કદાવર વાંદરાએ આ હરકત કરી હોવાની શક્યતા છે. ભાયલીની નવરચના યુનિવર્સિટી પાસેની નીલાંબર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં એક વાંદરો બચકા ભરે છે, 2 જણને બચકા ભરી ચૂક્યો છે તેવો કોલ શુક્રવારે વનવિભાગને પહેલીવાર મળ્યો હતો. વનવિભાગના રેસ્ક્યૂઅર્સ 2 દિવસ સતત આ વિસ્તારમાં ગયા હતા. પણ વાંદરો આંખે ન ચઢતાં ધરમધક્કા થયા હતા. છેવટે ત્રીજા દિવસે રવિવારે ફરી એકને બચકું ભર્યું છે તેવો કોલ આવતાં વનવિભાગના રેસ્કૂઅર ટીમ તેને પાંજરે પૂરવા 11 વાગ્યાના સુમારે પહોંચી હતી. પાંજરુ મૂક્યા બાદ બપોરે 4 વાગ્યે તે પાંજરે પૂરાયો હતો. મેટિંગ માટેની વર્ચસ્વની લડાઇમાં હાર્યા બાદ તરછોડાયેલો-રઘવાયેલો વાંદરો બચકાં ભરે છેવાંદરાઓની હાલમાં મેટિંગ સિઝન ચાલે છે. તેથી નર વાંદરાઓમાં વર્ચસ્વ માટે લડાઇ થતી હોય છે. જેમાં હારેલો વાંદરો ગ્રૂપમાંથી તરછોડાય છે. ત્યારે તે રીતે આ રીતે બચકા ભરતો હોય છે. બે કલાક સુધી વાંદરો ખોરાકને તાકતો રહ્યોવનવિભાગના રેસ્ક્યૂઅર જિજ્ઞેશ પરમારે જણાવ્યું કે, વાંદરો નીલાંબર સોસાયટીના એક બંગલોના સોલાર નીચે બેઠો હતો. ત્યારબાદ ઝાડ પર ચઢી ગયો. છેવટે તેને મનપસંદ કેળા-બિસ્કિટ બતાવવામાં આવ્યાં. તે બે કલાક સુધી મનપસંદ ખોરાકને તાકતો રહ્યો. છેવટે તે લલચાઇને આવતાં પાંજરામાં ઘૂસતા જ ટીમે દરવાજો બંધ કરતા તે પૂરાયો હતો. વન વિભાગની ટીમ સામે જ બે જણને બચકાં ભર્યાં​​​​​​​વાંદરો એટલો હિંસક બન્યો હતો કે વનવિભાગની ટીમ પકડવા ગઇ ત્યારે ટીમની સામે જ સીધો આવીને સોસાયટીના કોમન બગીચામાં કામ કરતા 2 શ્રમિકના પગ પાછળથી પકડીને બચકા ભરીને પળવારમાં જ અલોપ થઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:46 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:BRTS સ્ટૅન્ડમાં દરવાજા ખૂલતા નથી, LED-ટિકિટબારી બંધ

શહેરના મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરી મળે એ માટે કરોડો રૂપિયા ખર્ચીને બીઆરટીએસ સેવા શરૂ કરાઈ હતી પરંતુ અત્યારે આ સેવા જ ‘કેરલેસ મૅનેજમેન્ટ’નું ઉદાહરણ બની ગઈ છે. અનેક સ્થળે સ્ટેન્ડ પરની એલઈડી બંધ છે. એટલે બસ કેટલા વાગે આવશે તેની ખબર પડતી નથી. પરિણામે મુસાફરો ખોટી બસમાં ચઢી જાય છે. મણિનગર રેલવે સ્ટેશન પરના બીઆરટીએસ સ્ટેન્ડના ઑટોમેટિક દરવાજા પણ બંધ હોવાથી અકસ્માતનું જોખમ વધ્યું છે. આ સિવાય પાણીની સુવિધા, વૉશરૂમ, સફાઈની ઊણપ છે. સ્ટેન્ડના મેન્ટેનન્સ પાછળ કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચે છે છતાં સુવિધાના નામે મીંડું છે. પ્રગતિનગર સ્ટેશનની સ્થિતિ વધુ ગંભીર છે. અહીં લાંબા સમયથી ટિકિટ કાઉન્ટર બંધ છે. તેમાં સફાઈનાં સાધનો રખાય છે. પરિણામે ટિકિટ લેવા મુસાફરોને ફરીને બીજી બાજુ જવું પડે છે. આવી સ્થિતિ અન્ય સ્ટેશન પણ છે જેમાં કોઈ પણ એક ટિકિટ કાઉન્ટર બંધ છે. પ્રગતિનગર, સોલા સ્ટેશને સ્ક્રીન તૂટી ગઈ છે તો ક્યાંક માત્ર એક જ સાઇડ કાર્યરત છે. પરિણામે બસ નંબર, આગમન સમય અને રૂટ સંબંધિત માહિતી મળતી નથી.નરોડા સ્ટેશને તો એલઈડી સ્ક્રીન જ ઉપલબ્ધ નથી, જેના કારણે મુસાફરો સંપૂર્ણપણે અનિશ્ચિતતામાં મુસાફરી કરવા મજબૂર બને છે. સ્ટેશનો પર લગાવવામાં આવેલા ટીવી સ્ક્રીનોની સ્થિતિ પણ દયનીય છે. શહેરના અનેક બીઆરટીએસ સ્ટેશનો પર આવી જ સ્થિસ્થિતિ છે. મણિનગર બીઆરટીએસ સ્ટેન્ડ પરના ઓટોમેટિક દરવાજા મહિનાઓથી બગડેલા છે અને હંમેશા ખુલ્લા રહે છે. સુરક્ષા માટે અત્યંત જરૂરી આ દરવાજા રીપેર ન થયા હોવાને કારણે ખાસ કરીને સાંજની ભીડ સમયે અકસ્માતની ભયજનક શક્યતા ઉભી થાય છે. શહેરનાં અનેક બીઆરટીએસ પર આ પ્રકારની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે પ્રગતિનગરના સ્ટૅન્ડ પર સ્ક્રીન બંધ છે તો મણિનગરમાં દરવાજો બંધ જ રહે છેમુસાફર રમેશ પટેલે જણાવ્યું કે પ્રગતિનગર બસ સ્ટેશન પર એલઇડી સ્ક્રીન તૂટી ગયો હોવાથી ક્યા રૂટની બસ ક્યારે આવશે તેની જાણ હોતી નથી. ઘણી વખત મુસાફરો ભળતી બસમાં ચઢી જાય છે. તંત્રને અનેક વખત રજૂઆત કરાયા છતાંય નિરાકરણ નથી આવતું. મણિનગરના મુસાફરે જણાવ્યું કે મહિનાઓથી દરવાજો બંધ હાલતમાં છે. જેથી અકસ્માતનું જોખમ છે. નરોડના મુસાફરે જણાવ્યું કે સ્ટેશનના નામની પ્લેટ તૂટી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:45 am

સમસ્યા:અટલાદરામાંં વર્ષોથી સિટી બસ સેવા, પાણીની લાઇન અને રસ્તાઓની સમસ્યા ઠેરની ઠેર, રહીશો ત્રાહિમામ

શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર અટલાદરામાં આ અઠવાડિયે 500 મીટરનો એક રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી પૂરના પાણીને લીધે ખખડધજ બનેલો આ રસ્તો છેવટે બનતા રહીશોએ હાશકારો અનુભવ્યો છે. પણ બીજી તરફ હજીય રસ્તાઓ સહિતની કેટલીક સમસ્યાઓ છે જે આ વિસ્તારના રહીશોના માથે વર્ષોથી લખાયેલી છે. અટલાદરાનો વ્યાપ છેલ્લા 15 વર્ષમાંવધ્યો છે. આ વિસ્તારનો પાલિકાની હદમાં સમાવેશ થઇને પણ બે વર્ષનો સમય થયો હોવા છતાં હજીય વિકાસના ધાર્યા ફળ મળ્યા નથી. વડોદરાના મુખ્ય માર્ગથી અટલાદરા-બિલ-ચાણસદ સિટી બસ સેવા શરૂ થઇ શકે તેમ છે. પણ આ વિસ્તારના ખખડધજ રસ્તાઓના કારણે આ સેવાનો લાભ લોકોને નથી મળતો. પાદરા તરફના કેટલાક રસ્તાઓ એવા છે. જે નવા તૈયાર કરાયા છે પણ હજી તેના પર પાલિકાની સ્ટ્રીટ લાઇટનું અજવાળું પહોંચ્યું નથી. પાણીની લાઇનો નંખાઇ છે પણ પાણી માટે હજીય વિસ્તાર ભૂગર્ભ જળના ભરોસે છે. સિટી બસ શરૂ થાય તો લોકોના લાખો રૂપિયાની બચત થાયસિટી બસ મેનેજરને મળ્યો છું. અરજીમાં એક જ જવાબ હોય છે. પહેલા રસ્તા તો તૈયાર કરો. બસ તો બીજા દિવસે શરૂ કરીશું. બસને અનુરૂપ રસ્તાઓ તૈયાર થતા જ નથી. > કિરણભાઇ પંચાલ, સ્થાનિક. ડિવાઇડરના ઝાડવાઓના ટ્રિમિંગના અભાવે અકસ્માતોઅટલાદરાના દીપ પાર્ટી પ્લોટથી અક્ષર પેરેડાઇઝ વચ્ચેના રસ્તાના ડિવાઇડરો પર ઝાડવા ઉગી નીકળ્યા છે ટ્રિમિંગ કોઇ દિવસ થયું નથી. જેના લીધે અકસ્માતો બની રહ્યાં છે. > રવિ મિસ્ત્રી, નિસર્ગ રેસિડેન્સી કરોડોનો વેરો ભરાય છે, અને પાણી પણ ભરાય છેઅમારી સોસાયટી 13 વર્ષથી છે કરોડોનો વેરો ભરાય છે સોમાસામાં વેલાણી પેરેડાઇઝ ચોકડી પર અડધો કલાક વરસાદ પણ આવે તો દોઢ ફૂટ પાણી ભરાઇ જાય છે. > ધવલ દીક્ષિત, અક્ષર અમૃત રેસિડેન્સી

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:44 am

જામીન નામંજૂર:ફાઈનાન્સ ઓફિસર દ્વારા 2.90 કરોડની ઠગાઈમાં જામીન નામંજૂર

શહેરની એઈમ્સ ઓક્સિજન જૂથની કંપનીના ચીફ ફાઈનાન્સ ઓફિસરે કંપનીની જાણ બહાર ચાર વર્ષના સમયગાળામાં ઉદ્યોગ જૂથ સાથે 2.9 કરોડની ઠગાઈ કરી હતી. કંપનીના ડિરેક્ટરે આ અંગે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો હતો.હાલ આરોપી જેલમાં છે.જ્યાં એને અત્રેની અદાલતમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી જે નામંજૂર કરવામાં આવી છે. સંજય કુમાર રામચંદ્ર મિસ્ત્રી ઓલ્ડ પાદરા રોડ પર આવેલી એમ્સ ઓક્સિજન પ્રા.લી. કંપનીના ડાયરેક્ટર પદે હતા. આ ઉદ્યોગ જૂથની અન્ય કંપનીઓ સાથે પણ તેઓ જોડાયેલા છે. કંપનીના માલિક અનીશભાઈ પટેલે સને 2019માં દિપક વિનુભાઈ પરમાર રહે, વિરામ ફલેટ, વડસર બ્રિજ માંજલપુરની આઈડેન્ટીફીકેશન નંબરના આધારે ડાયરેક્ટર તરીકે નિમણુંક કરી હતી. તેઓ પહેલા ચીફ ફાઈનાન્સ ઓફિસર હતા. ફરિયાદમાં સંજય કુમારે ફરિયાદમાં આરોપી દિપક પરમારે ઉદ્યોગ જૂથની ત્રણે કંપનીઓના એકાઉન્ટમાંથી 2.9 કરોડની ઉચાપત કરી હતી. આરોપી દીપકે અત્રેની અદાલતમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી.જેની સુનાવણી બાદ એડી સેશન્સ જજ આર.એ.અગ્રવાલે જામીન અરજી નામંજૂર કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:43 am

ભાસ્કર ઈનસાઈડ:ડેટિંગ સાઈટ પર મળેલા યુવકે યુવતીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ કર્યું,ધમકી આપી ગર્ભપાત કરાવ્યો

ડેટિંગ એપ દ્વારા મિત્રતા કરવી ખાનગી કંપનીમાં કામ કરતી યુવતીને ભારે પડ્યું છે. મિત્ર બનેલા યુવાને યુવતીને ઘરે બોલાવી નશીલો પદાર્થ પીવડાવી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી ગર્ભવતી બનતાં બળજબરી ગર્ભપાત કરાવ્યો હોવાની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ખાનગી કંપનીમાં કામ કરતી યુવતીને ડેટિંગ એપ પર એક યુવકનો પ્રસ્તાવ આવ્યો હતો. યુવતીએ સ્વીકારતાં યુવક સાથે મિત્રતા અને બાદમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. મયંક શરદ ગુપ્તાએ યુવતીને 27 જુલાઇએ તેના ઘરે બોલાવી હતી. પાર્ટીના બહાને ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી યુવકે પીડવાવ્યું હતું અને યુવતી પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. મયંકે યુવતીને બ્લેકમેલ કરી કહ્યું હતું કે, ‘જો શરીર સંબંધ બાંધવા નહી દે તો ફોટો-વીડિયો વાઇરલ કરી નાખીશ.’ બાદમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી ગર્ભવતી બની હતી. યુવકે બળજબરી ગર્ભપાત કરાવડાવ્યો હતો. પીડિત યુવતીએ વતન જઈ યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ઝીરો નંબરથી ટ્રાન્સફર થઇ બાપોદ પોલીસમાં આવતાં યુવકની ધરપકડ કરાઇ છે. ગર્ભપાત બાદ બાળક મારું નહોતું કહી બદનામ કરીબાપોદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, ગર્ભવતી બન્યા બાદ યુવકે બળજબરી પૂર્વક દબાણ કરી હોસ્પિટલ લઈ જઈ ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં બાળક મારું નહોતું એવો આરોપ લગાવ્યો હતો. યુવતી નોકરી છોડી વતન જતી રહી હતી. ત્યાંથી મયંક ગુપ્તા સામે ફરિયાદ નોંધાવી હતી. સાઇટ મળ્યા પછી રૂબરૂ મળવામાં ઉતાવળ ન કરો, પહેલાં ચકાસો

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:42 am

CMને રજૂઆત:બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓ બુદ્ધ પૂર્ણિમાએ જાહેર રજા કરવા માટે મુખ્યમંત્રીને મળ્યા

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા તેમના મુખ્ય તેહવાર ગણાતા વૈશાખી બુદ્ધ પૂર્ણિમાએ જાહેર રજા માટે સરકારમાં અવારનવાર માગણી કરવામાં આવે છે પરંતુ ધ્યાને ન લેવાતાં આખરે ગુજરાત પ્રદેશના બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લઈ આ અંગે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ તેને સકારાત્મક લઈને જાહેર રજા માટે આશ્વાસન આપ્યું હતું. ભગવાન બુદ્ધને માનનારા લોકો માટે તેમના મુખ્ય પ્રતિનિધિઓ જેવા કે આયુષ્માન સિંહલ બોધિધર્મન (અમદાવાદ), આયુષ્માન સિંહલ રાજવર્ઘન (કચ્છ), આયુષ્માન સિંહલ રજનીકાંત (આણંદ), આયુ. વિક્રમ બૌદ્ધ (જૂનાગઢ) અને આયુ. લવેશ રાણા (ગાંધીનગર)એ મુખ્યમંત્રી રજૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:42 am

આરોપીઓ ઝડપાયા:19 વર્ષથી ફરાર સહિત 5 આરોપીઓ ઝડપી પડાયા

શહેરનાં જુદાં જુદાં પોલીસ મથકોમાં ગુના નોંધાયા બાદ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ખાસ ટીમો બનાવી છે. જે આરોપીઓની શોધમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં મોકલાઈ છે. આ ટીમો દ્વારા વધુ 6 આરોપીને ઝડપી લેવાયા છે. અત્યાર સુધી કુલ 21 આરોપીને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસે મકરપુરા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં 18 વર્ષથી વોન્ટેડ સીતારામ બિશ્નોઈ (રાજસ્થાન) ઝડપ્યો હતો. ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં 19 વર્ષથી ફરાર મલખાનસિંગ ભાતુ (ઉત્તરપ્રદેશ)ની તપાસ કરતા આ આરોપી એક વર્ષ પહેલા અવસાન પામ્યો હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ છાણી પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિ. કલમ મુજબના ગુનામાં ફરાર આરોપી નામે મોહમંદકાસીમ મોહમંદસફી (ઉત્તરપ્રદેશ)ને ઉત્તર પ્રદેશથી ઝડપ્યો છે. ઉપરાંત બાપોદ પોલીસમાં નોંધાયેલ ગુનાના આરોપી અર્શદખાન મેવ (ગોપાલગંજ)ની તપાસમાં લૂંટના ગુનામાં રાજસ્થાનની જેલમાં હોવાનું શોધી કાઢતા આરોપીને બાપોદ પો. સ્ટેશનના ગુનામાં કબ્જો મેળવવા કોર્ટમાં મંજૂરી મગાઈ છે. જ્યારે બાપોદ પો.સ્ટેશન આવશ્યક ચીજવસ્તુ ધારા મુજબના ગુનામાં 6 વર્ષથી ફરાર સુરેશ ઉર્ફે અશોક ભાદુ (બિશ્નોઈ) (રાજસ્થાન)ની સામે રાજસ્થાનમાં નોંધાયેલ ગુનામાં પકડ વોરંટ ઇશ્યું હોય તેને રાજસ્થાનની જેલમાં મોકલી દેતાં બાપોદ પો.સ્ટે.ના ગુનામાં મેળવવાની કાર્યવાહી કરાઈ છે. જ્યારે હરણી પો.સ્ટે. 5 લાખનો ટાયરનો સ્ક્રેપ માલ ન આપી વિશ્વાસઘાતના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી આસીન અસરુ મેવ (ડીગ, રાજસ્થાન)ને ઝડપી હરણી પોલીસને સોંપ્યો છે. 3

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:40 am

ડાંગરની ઐતિહાસિક આવક નોંધાઈ:જેતલપુર યાર્ડમાં પહેલી વાર 1 દિવસમાં 843 ટ્રેકટર ડાંગરની આવક

કેતનસિંહ રાજપૂત, અમદાવાદજેતલપુરના પંડિત દિનદયાળ માર્કેટ યાર્ડમાં સોમવારે ડાંગરની ઐતિહાસિક આવક નોંધાઈ હતી. એક જ દિવસે 843 ટ્રેક્ટરો ડાંગર લઈને પહોંચતા સમગ્ર યાર્ડમાં ‘ડાંગર મહોત્સવ’ જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં નજર જાય ત્યાં ડાંગરના ઢગલા, ટ્રેક્ટરની લાંબી કતારો અને ખરીદી-વેચાણનો ધમધમાટ જોવા મળ્યો. એપીએમસી સેક્રેટરી સંજયભાઈ પટેલે જણાવ્યું કે, એક દિવસમાં આવકનો આ અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ છે. રોજ 21 થી 22 હજાર ક્વિન્ટલ આવક થતી હોવાથી યાર્ડમાં દૈનિક 4 કરોડ રૂપિયાથી વધુનું લેવડદેવડ થઈ રહી છે. મહેમદાવાદ, ખેડા, દસકોઈ, નડિયાદ, ખંભાત સહિત અનેક વિસ્તારોના ખેડૂતો વહેલી સવારે જ ટ્રેક્ટર ભર્યા ડાંગર સાથે યાર્ડમાં પહોંચતા ભારે અવરજવર જોવા મળી. વધેલા પાક અને મજબૂત ભાવથી ખેડૂતો ખુશ છે, જ્યારે વેપારીઓ માટે પણ બજારની ચહલપહલ ઊંચે ચડી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:39 am

પોલીસ કમિશ્નરને રજૂઆત:ક્રિકેટના સટ્ટાની ઉઘરાણીમાં યુવક પર હુમલો, 8-10 શખ્સે ઘર ઘેરી માતા-પિતાને પણ માર્યાં

ક્રિકેટના સટ્ટાની લેવડ-દેવડમાં બે દિવસ અગાઉ મધરાત બાદ વારસિયામાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયાની ઉઘરાણી બાબતે માથાભારે યુવકોએ અન્ય યુવકનું ઘર ઘેરી લઈ હુમલો કર્યો હતો. અને યુવક તેનાં માતા-પિતાને માર મારી લોહી લુહાણ કર્યાં હતાં. પોલીસને જાણ કરવામાં આવતાં કુંભારવાડા પોલીસે ગંભીર બનાવમાં પણ માત્ર અરજી લઈ સામાન્ય કાર્યવાહી કરી છે. પરિણામે યુવકની માતાએ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. વારસિયા સંત કંવર કોલોનીમાં શુક્રવારે મધરાત બાદ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભરત ધર્મેશભાઈ નામાણી નામના યુવકનું ઘર ઘેરી લઈ રાતે 12:30 વાગે 8 થી 10 યુવકો હથિયારો અને ડંડા લઈ ધસી આવ્યા હતા. આ શખ્સોએ ધર્મેશને બહાર બોલાવ્યો હતો.હુમલાખોરોમાં અજય તોલાણી પ્રદીપ માધવાની તેમજ સન્ની બાબલો સહિત અન્ય યુવકો સામેલ હતા. રાતના સમયે ઘર બહાર આવેલા યુવકોએ જોર જોરથી બૂમો પાડીને ભરતને બહાર આવવા જણાવતાં પરિવારજનો ગભરાયા હતા. માતા-પિતા હુમલાખોરોને ઓળખી જતાં ભરતને પાછળના રસ્તે ભાગી જવા જણાવ્યું હતું. જોકે ત્યાં જતાં બે યુવકો હથિયાર સાથે ઊભા હતા અને તેમણે ભરતને માર માર્યો હતો. જોકે તે ભાગવામાં સફળ રહ્યો હતો. ભરત ભાગી જતાં ઉશ્કેરાયેલા ટોળાએ માતા અનિતાબેન અને પિતા ધર્મેશભાઈને માર મારી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે ભરતની માતાએ કુંભારવાડા પોલીસ મથકે જઈ પોલીસની મદદ માગી હતી. પોલીસે આવીને બે હુમલાખરોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસ મથકે માત્ર એક જ યુવક સામે કાર્યવાહી કરવામાં આવી. હુમલાખોરોના ભયથી ભરતનો પરિવાર ફફડી રહ્યો છે. બીજી તરફ પોલીસે બંને પક્ષે સામસામે અરજી લઈ સામાન્ય કાર્યવાહી કરી હતી. જેને પગલે ભરતની માતાએ અનીતાબેને પોલીસ ભવન જઈ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. મારા પુત્રની હત્યા થઈ શકે છે, માતાની રજૂઆતહુમલામાં ઘાયલ થઈ સારવાર લીધા બાદ ભરતની માતા પોલીસ ભવન ગઈ હતી અને લેખિત રજૂઆત કરી હતી. જેમાં અગાઉ પણ આ અજય, પ્રદીપ અને સન્ની નામના યુવકોએ ક્રિકેટના સટ્ટા અને વ્યાજે આપેલા રૂપિયા બાબતે મારા પુત્ર પર હુમલો કરી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વારસિયા પોલીસ મથકે અને કુંભારવાડા પોલીસમાં બે વાર ફરિયાદ કરવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી, એમ જણાવીને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. હુમલા સમયના સીસીટીવી ફૂટેજ તેમજ વીડિયો રેકોર્ડિંગ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. બંને પક્ષની સામસામે અરજી લીધી છે ઃ પીઆઇકુંભારવાડા પોલીસ મથકના પીઆઈ એ. જે. પાંડવે જણાવ્યું છે કે, નાણાકીય લેવડ-દેવડ બાબતે હુમલામાં ઘાયલ થયેલી મહિલા શુક્રવારે રાત્રે 1 વાગે અત્રે આવી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાદમાં બંને પક્ષની સામસામે અરજી લેવાઈ છે. એક હુમલાખોર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:39 am

મંડે પોઝિટીવ:સૃજન એજ્યુકેશન ટ્રસ્ટે 75થી વધુ સમકાલીન, દુર્લભ, સંશોધન મૂલ્ય ધરાવતા ગ્રંથોને લાઇબ્રેરીમાં સંરક્ષિત કર્યા

ડિજિટલના સમયમાં જ્યાં પુસ્તકો હવે સરકારી લાઈબ્રેરીના ખાનાઓમાં સીમિત રહીને ધૂળ ખાઈ રહી છે. ત્યારે સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ અને તેની સાહિત્યિક શાખા સૃજન સાહિત્ય છેલ્લાં બે વર્ષથી હિન્દી સાહિત્યના સર્વાંગી વિકાસ અને સંરક્ષણ માટે કાર્ય કરી રહી છે. જેમાં દુર્લભ ગ્રંથો, અપ્રાપ્ય કૃતિ તેમજ મૂલ્યવાન સાહિત્યિક ધરોહરને ભાવિ પેઢી સુધી પહોંચાડવા રાષ્ટ્રીય સ્તરની વિશેષ પહેલ શરૂ કરી છે. જેમાં સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 75થી વધુ સમકાલીન, દુર્લભ અને સંશોધનમૂલ્ય ધરાવતા ગ્રંથો વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરીમાં સંરક્ષિત કરાવાયાં છે. સૃજન એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપિકા રશ્મિ રંજને જણાવ્યું હતું કે, ટ્રસ્ટે 29 એપ્રિલ 2023 થી સતત સાહિત્યિક તાલીમ અને સર્જનાત્મક વિકાસની પ્રવૃત્તિઓનું આયોજન શરૂ કર્યું હતું. જેમાં કવિતા, વાર્તા, લેખન, વ્યંગ નિર્માણ, મંચ-પ્રસ્તુતિ, પ્રેરણાત્મક ભાષણ કળા જેવી વિવિધ ક્ષેત્રોમાં નિઃશુલ્ક મેન્ટરશિપ આપવામાં આવે છે. આ તાલીમ માત્ર શૈક્ષણિક નથી, પરંતુ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, ભાષા અભિવ્યક્તિ, વિચારોની સ્પષ્ટતા અને સર્જનાત્મક શક્તિને વિકસાવવાનું સાધન છે. જોકે જ્યારે વિદ્યાર્થીઓ મંચ પર રજૂઆત કરવા માટે તૈયાર થાય છે, ત્યારે સંસ્થા તેમને વિવિધ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ સ્થાનિક મંચો સાથે જોડે છે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી પોતાની પુસ્તક પ્રકાશિત કરવા ઇચ્છે, તો સૃજન સાહિત્ય સમગ્ર પ્રકાશન પ્રક્રિયામાં માર્ગદર્શન આપીને તેમની સાહિત્યિક યાત્રાને વધુ સુનિશ્ચિત બનાવવા માટે આ પ્રાયાસ કરવામાં આવ્યો છે. વિલુપ્ત થઈ ગયેલા ગ્રંથની નકલ સંસ્થાએ કેલીફોર્નિયાની લાઈબ્રેરીમાંથી મેળવીસૃજન સાહિત્ય પાસે દુર્લભ અને ઐતિહાસિક ગ્રંથોનું સંરક્ષણ છે. જેમાં સાલ 1916માં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત સનાતન ધર્મ નામનો પ્રાચીન ગ્રંથ અત્યંત વિશેષ છે. આ ગ્રંથમાં હિંદુ ધર્મના વિવિધ તત્ત્વો, સિદ્ધાંતો અને પરંપરાઓનું ખૂબ જ સંતુલિત, નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક વર્ણન ઉપલબ્ધ છે. ભારતભરમાં તેની એકપણ નકલ રહી નહોતી. અને માત્ર એક જ પ્રતિકૃતિ કેલિફોર્નિયા યુનિવર્સિટી લાઇબ્રેરીમાં મળી. જેને માઈક્રોસોફ્ટ દ્વારા ડિજિટાઇઝ કરવામાં આવી હતી. તે જ રીતે સત્યનારાયણ પ્રસાદની અતિદુર્લભ કૃતિ ‘તુમ મેરે નહીં હો શકતે’, જેની માત્ર એક જ નકલ હાજર હતી, તેનો પણ સંરક્ષણ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા આ પુસ્તકોનું સંરક્ષણ થયું

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:37 am

અમદાવાદ -નવી મુંબઈ માટે ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ ભરશે ઉડાન:અમદાવાદથી નવી મુંબઈ વચ્ચે પ્રથમ ફ્લાઇટ 25 ડિસેમ્બરથી, શરૂઆતમાં ભાડું રૂ.10,800

અમદાવાદથી નવી મુંબઈ માટે ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ 25 ડિસેમ્બરથી શરૂ થશે, જે બપોરે 11.55 વાગ્યે ઉડાન ભરી 1 વાગ્યે પહોંચશે જ્યારે અકાસા એરલાઇન નવી મુંબઇથી અમદાવાદ વચ્ચે 31 ડિસેમ્બરથી ફ્લાઇટ શરૂ કરશે, જે ફક્ત દર બુધવારે મુંબઈથી સાંજે 5.40 કલાકે ઉડાન ભરી 6.50 કલાકે અમદાવાદ પહોંચશે. હાલ અમદાવાદથી નવી મુંબઈ માટે પેસેન્જરને એક જ ફ્લાઇટનો વિકલ્પ હોવાથી શરૂઆતનું ભાડું રૂ.10,800 રખાયું છે, જે દુબઈના વન-વે ફેર જેટલું છે. હાલ જૂની મુંબઈ માટે 32 ફ્લાઇટ છે. નવી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ થતાં પુણે જવું સરળ બનશે. મુંબઈ કરતાં નવી મુંબઈનું ભાડું ત્રણ ગણું વધારે કેમ?અમદાવાદથી મુંબઈ માટે ઓછાંમાં ઓછું વન વે ફેર રૂ. 2700 અને મહત્તમ રૂ.4500 સુધી છે, કેમ કે આ રૂટ પર ઈન્ડિગો, એરઇન્ડિયા અને અકાસા એમ ત્રણ એરલાઇન મળી દિવસની 34 ફ્લાઇટ ઓપરેટ કરે છે. કંપનીઓ વચ્ચે હરીફાઈને કારણે ભાડું ટ્રેનના ફર્સ્ટ ક્લાસની સરખામણીએ છે, પણ હાલમાં અમદાવાદથી નવી મુંબઈ માટે પેસેન્જરને એક જ ફ્લાઈટનો વિકલ્પ હોવાથી શરૂઆતનું વન-વે ભાડું ₹10,800 રાખવામાં આવ્યું છે, જે જૂની મુંબઈ કરતાં ત્રણ ગણું વધારે છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે ફલાઇટની સીટો 6120થી વધીને 6669 થશે

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:36 am

તબીબની જેમ સ્પેશિયાલાઇઝેશન સાથે તાલીમ અપાશે:ગોત્રી હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફ માટે 4 અભ્યાસક્રમ શરૂ થશે

ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં દર્દીને તબીબ સાથે પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સારી સુવિધા સાથે સારવાર મળે તે માટે 4 કોર્સ શરૂ થશે.જેમાં નર્સને પસંદગીના કોર્સમાં સ્પેશિયાલાઈઝેશન સાથે તાલીમ અપાશે. જેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. રાજ્ય સરકારે પેરા મેડિકલ સ્ટાફ માટે 8 બેઝિક ડિપ્લોમા નર્સિંગ રેસિડેન્સિયલ કોર્સ શરૂ કર્યા છે. જે અંતર્ગત ગોત્રી હોસ્પિટલમાં 4 કોર્સ શરૂ કર્યા છે. જેમાં હોસ્પિટલ અને બહારના પેરા મેડિકલ સ્ટાફને થીયરી-પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે. આ કોર્સ માટે 5 હજાર ફી રખાઈ છે. કયા કોર્સમાં કેટલી બેઠક દર્દીઓની સારવાર વધુ સારી રીતે થઈ શકશેપેરા મેડિકલ સ્ટાફ સંપૂર્ણ રીતે તાલીમ પામેલો હોય તેવા આશયથી કોર્સ શરૂ કરાશે. પેરા મેડિકલ સ્ટાફ આ કોર્સમાં જોડાય તો આગળ જઈને સ્પેશિયાલિસ્ટ નર્સ તરીકે કામ કરી શકે અને દર્દીની સારામાં સારી સારવાર કરી શકે. આ વર્ષથી કોર્સ શરૂ કરાશે. > ડો. વિશાલા પંડ્યા, ડીન, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:35 am

AMAમાં સ્પાઇન, પોશ્ચર, મૂવમેન્ટ પર સેશન:ફોન ખોટી રીતે પકડવાની ટેવથી પણ કરોડરજ્જુને નુકસાન થાય

અમદાવાદમાં લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ લોઅર બેક પેઇન, સર્વાઇકલ, નેક પેઇન કે ઘૂંટણના દુખાવાથી પીડાય છે. શહેરના ફિઝિયો અને ઓર્થોપેડિક ક્લિનિકમાં આવનારા કેસોમાં પણ સતત વધારો નોંધાયો છે. એમાં મોટો ભાગે ખોટી રીતે બેસવાની ટેવ ધરાવતા, મોબાઇલનો વધુ ઉપયોગ કરતા અને આઠથી 10 કલાક બેસી રહેતા લોકોને આ સમસ્યા છે. આજના યુવાનોમાં પણ સ્પાઇન ડિસ્ક નબળી પડવાના, સાયટિકા અને મસલ સ્ટિફનેસનાં કેસ વધી રહ્યા છે. આ વધતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં મિશન હેલ્થના ફાઉન્ડર ડૉ. આલાપ શાહે સ્પાઇન, પોશ્ચર અને મૂવમેન્ટ પર ખાસ સેશનનું આયોજન કર્યું હતું. તેમણે સમજાવ્યું કે, ‘આપણે જીવનનો લગભગ અડધો સમય ખોટી રીતે બેસવામાં જ વીતાવી દઈએ છીએ. યુવા વયે સ્પાઇન ડિસ્ક નબળી પડવાનાં કારણ દિવસભર બેઠાડું કામ ખુરશી પર કેવી રીતે બેસવું? ભારે વજન કેવી રીતે ઉપાડવું? ફોન કેવી રીતે જોવો જોઈએ?

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:34 am

મંડે પોઝિટીવ:સરકારી શાળાનું ગૌરવ, શિક્ષણ અને સુવિધામાં અવ્વલ કવિ દુલા કાગ શાળાની ખાનગી સ્કૂલ સંચાલકે મુલાકાત લઈ મેનેજમેન્ટની પ્રેરણા મેળવી

શિક્ષણ, શાળાકીય પ્રવૃત્તિ, મેનેજમેન્ટના આધારે ખાનગી શાળાને ટક્કર મારે તે પ્રકારે નામના મેળવી રહેલી સરકારી કવિ દુલા કાગ પ્રાથમિક શાળા રોલ મોડલ સાબિત થઇ છે. ખાનગી શાળામાં શિક્ષણ-સુવિધા શ્રેષ્ઠ હોવાનું લોકો માને છે ત્યારે કવિ દુલા કાગ શાળાએ નવો માઇલ સ્ટોન રચ્યો છે. હરણી-વારસિયા રોડની ખાનગી શાળા વિદ્યામંદિર વિદ્યાલયના સંચાલકોએ કવિ દુલા કાગ શાળાની મુલાકાત લઇ પોતાની શાળાને તે કક્ષાએ લઇ જવા પ્રયાસ કર્યો છે. વિદ્યામંદિર વિદ્યાલયના સંચાલકોએ સ્કૂલમાં મેનેજમેન્ટ કેવી રીતે કરાય છે તે વિશે માહિતી મેળવી હતી. સ્માર્ટ ક્લાસ, પાણી, સેનિટેશન તથા સફાઇ પર કેવું ધ્યાન અપાય છે તેની માહિતી આચાર્ય પાસેથી લીધી હતી. સરકારી શાળાએ કેવી રીતે વાલીઓનો વિશ્વાસ જીત્યો અમારી શાળાનું જમા પાસું બાળ સાંસદ છેશાળાનું સંચાલન બાળ સાંસદો કરે છે. બાળ સાંસદો મધ્યાહ્ન ભોજન સમિતિ, પ્રાર્થના સમિતિ, સ્વચ્છતા સમિતિ, બાગકામ જેવી સમિતિ શાળાનાં રોજિંદાં કામોમાં ભૂમિકા ભજવે છે. > જીગર ઠક્કર, આચાર્ય, કવિ દુલા કાગ શાળા લાઇબ્રેરીનું સેટઅપ અમારી સ્કૂલમાં કરીશુંહું એનઆરઆઇ છું, પણ દેશ માટે કશું કરવું હતું. જેથી વડોદરામાં વિદ્યામંદિર સ્કૂલ હસ્તક કરી હતી. કવિ દુલા કાગ સ્કૂલમાં અદભુત કામ કરાય છે. લાઇબ્રેરીનું સેટઅપ સૌથી અપડેટ છે. આવું સેટઅપ અમારી સ્કૂલમાં કરીશું. > રેનુ દલાની, સંચાલક, વિદ્યા મંદિર વિદ્યાલય

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:33 am

કાર્યવાહી:અટલાદરા-માંજલપુર બ્રિજ નજીક વિશ્વામિત્રી પટમાં કાટમાળ ઠલવાયો

ગત વર્ષે આવેલા પૂર બાદ પાલિકાએ 63 કરોડના ખર્ચે વિશ્વામિત્રીને ઊંડી-પહોળી કરી છે. ત્યારબાદ તેમાં ઠલવાયેલા કાટમાળને હટાવવાનું ચાલુ થશે. જોકે અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રી પાસે કાટમાળ-કચરો ઠલવાયો હોવાનું સપાટી પર આવતાં ભારે રોષ ફેલાયો છે. અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રીના બ્રિજ પાસે કોતરમાં કાટમાળ-કચરો ઠલવાયો છે. ગત વર્ષે પૂર બાદ વિશ્વામિત્રીની વહન ક્ષમતા વધે તે માટે નદીને પહોળી-ઊંડી કરી છે. આ કામગીરી મેમાં પૂર્ણ થયા બાદ હ્યૂમન રાઈટ કમિશને ગઠિત કરેલી કમિટીએ નદીમાંથી કાટમાળ હટાવવા માગ કરી છે. તેવામાં નદીના પટમાં કચરો ઠલવાતાં તંત્ર સામે સવાલો ઊઠ્યા છે. વહેલી તકે ત્યાંથી કાટમાળ-કચરો હટાવાય અને કચરો નાખનાર સામે કાર્યવાહી થાય તેવી માગ ઊઠી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર લક્ષ્યાંક નેદરિયાએ કહ્યું કે, ટીમ સ્થળ મુલાકાત લઇ તપાસ કર્યા બાદ કાર્યવાહી કરશે. બેઠકમાં પણ કાટમાળને હટાવવા સૂચન થયાં હતાંતાજેતરમાં પાલિકામાં હ્યૂમન રાઈટ કમિશન દ્વારા ગઠિત કરાયેલી કમિટીના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વિશ્વામિત્રીમાં ઠલવાતો પ્લાસ્ટિક વેસ્ટ અને કોતરોમાં નખાયેલા કાટમાળને હટાવવા માટે સૂચનો કરાયાં હતાં. નોંધનીય છે કે, અગાઉ બહારથી 14 સ્થળોએ કચરો નાખવામાં આવ્યો હોવાથી પાલિકાએ તેને હટાવવાની કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:32 am

ઠંડીની તીવ્રતા હજુ વધશે:6 દિવસ બાદ પારો ફરી 14 ડિગ્રી નોંધાયો

શહેરમાં 6 દિવસ બાદ ઠંડીનો પારો ફરી 14 ડિગ્રી સુધી પહોંચતાં શહેરીજનો ઠંડીથી ઠૂંઠવાયા હતા. જ્યારે સમગ્ર મહિનો ઠંડીનો પારો 14 થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શહેરમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીની તીવ્રતા હજુ વધવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 7 દિવસ વાતાવરણ સૂકું જોવા મળશે. દરમિયાન ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે, જેથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. શહેરમાં રવિવારે મહત્તમ પારો 29.8 ડિગ્રી અને લઘુતમ પારો 14.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજ સવારે 75 ટકા, સાંજે 32 ટકા નોંધાયો હતો. ઉત્તર-પૂર્વની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. સુરતમાં પારો 18.8 ડિગ્રી મેદાની વિસ્તારના ઠંડા પવનો ફૂંકાતાં ઠંડીનું પ્રમાણ વધ્યુંહિમાલય ક્ષેત્રમાં થયેલી બરફ વર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતાં ઠંડી વધી રહી છે. જેને કારણે અઠવાડિયામાં જ બે વખત ઠંડીનો પારો 14 ડિગ્રી સુધી નોંધાય છે. ડિસેમ્બર મહિનામાં ઠંડીની તીવ્રતા વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:31 am

મંડે મેગા સ્ટોરી:શહેર ફરતે 7 બ્રિજના મજબૂતીકરણમાં 2 માસ ટ્રાફિક થયો,મહિનામાં ફરી બિસમાર

વડોદરાને જોડતા નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. હાઇવે પર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વારંવાર વાહનોની કિલોમીટરો સુધી કતારો લાગતાં ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે હાઇવેના 35 કિમી માર્ગના 7 બ્રિજ પર કરાતા સમારકામથી આ સ્થિતિ થઇ હોવાનું એનએચએઆઈના અધિકારી કહ્યું હતું. કોન્ટ્રાક્ટરે કામગીરી તો કરી, પણ મહિના બાદ ફરી બ્રિજની સ્થિતિ ખસ્તા થઈ ગઈ છે. અધિકારીઓએ તાજેતરમાં નિરીક્ષણ કરી 40થી વધુ ખાડા અંગે કામ કરવા રિપોર્ટ કર્યો હતો. 15 વર્ષ બાદ ફ્લાયઓવરના સ્ટ્રેન્ધનિંગનું કામ કરવા ખાનગી કંપનીને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ઓગસ્ટથી ઓક્ટોબર સુધી તેની કામગીરી કરાઈ હતી. ફ્લાયઓવર પર મિલિંગ કરી નવો રોડ બનાવાયો હતો. ભાસ્કરે બ્રિજનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરતાં મોટા ખાડા, લાંબા અંતર સુધી રોડની સ્થિતિ ખરાબ, સળિયા દેખાવા સહિતની હકીકત જોવા મળી હતી. બીજી બાજુ બ્રિજ પર કોન્ટ્રાક્ટરે મિલિંગ કર્યું હતું, પરંતુ ડામરનો રોડ બનાવવાનો બાકી હતો. ઉલ્લેખનીય છે કે, સૌથી વ્યસ્ત હાઇવેનાં વાહનોને સર્વિસ રોડ પર ડાઇવર્ટ કરાતાં ચક્કા જામ થયો હતો. નવા રિપોર્ટ પ્રમાણે ખાડા પૂરવા સાથે પેચવર્ક કરાશે. બ્રિજ બાદ હાઇવેના રોડનું કામ કરાશે. નોંધનીય છે કે, કપુરાઈ બ્રિજ પર 8 ઓગસ્ટે સમારકામથી હાઇવે પર 7થી 8 કિમી ચક્કા જામ થયો હતો. સાંજે પિક અવર્સમાં સર્વિસ રોડ તરફ વાહનોને ડાઇવર્ટ કરાતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ ટ્રાફિક જામની શહેરમાં પણ થઈ હતી. આખરે પોલીસે સમારકામ બંધ કરાવી બ્રિજ શરૂ કરાવ્યો હતો. આ 7 ફ્લાયઓવર પર ગ્રાઉન્ડ રિપોર્ટ કરાયો હતો ખાડા તથા ખરાબ રસ્તો દેખાય તો રિપોર્ટ કરાય છે​​​​​​​એનએચએઆઈના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ટીમ રૂટનું ઈન્સ્પેક્શન કરે છે. ખાડા કે રસ્તો ખરાબ દેખાય તો તેના રિપેરિંગ માટે કોન્ટ્રાક્ટરને સૂચનો કરે છે. વહેલું કામ ન થાય તો કાર્યવાહી કરવા સૂચન કરાય છે. 2009માં બ્રિજ બન્યાના 15 વર્ષ પછી મજબૂતીકરણ કરાયુંને. હાઇવે 48 પર એલએન્ડટી દ્વારા 2009માં ફ્લાયઓવરો બનાવાયા હતા.તે પછી 15 વર્ષ બાદ બ્રિજનું સ્ટ્રેન્ધનિંગ શરૂ કરવા અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જે સ્ટ્રેન્ધનિંગ સાથે રોડની પણ કામગીરી કરશે. લોકોને આ સમસ્યા થઈ રહી છે અધિકારીઓ હાજર ન રહેતા હોવાને કારણે સમસ્યાવડોદરામાં એનએચએઆઈની ઓફિસ જ નથી. રાજ્યના મધ્યની ઓફિસ વડોદરા હોવી જોઈએ. અધિકારીને ફરિયાદ કરાય તો તે બે દિવસે આવી રહે છે. આ સમસ્યા અધિકારીઓ હાજર ન રહેતા હોવાને કારણે થઈ છે. આગામી સત્રમાં આ મામલે રજૂઆત કરીશ. > ડૉ.હેમાંગ જોષી, સાંસદફ્લાયઓવર પર સળિયા દેખાયા

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સોસાયટીએ માઇક પર જાહેરાત કરી લોકોને ભેગા કર્યા, ‌BLOનું 3 કલાકનું કામ 30 મિનિટમાં થઈ ગયું

સંદીપ પરમાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં બુથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) ઘરે ઘરે જઈ અને સ્કૂલમાં કેમ્પ હેઠળ લોકોને ફોર્મ ભરાવી રહ્યાં છે. ‘દિવ્ય ભાસ્કર’એ તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો, જેમાં જાણવા મળ્યું હતું કે, કેવી રીતે બીએલઓ, નાગરિકો અને બીએલએ એકબીજાને સહકાર આપીને આ કામગીરી સરળ કરી શકે છે. ‘કેટલાક લોકો તો ઘરમાં બેસાડી ચા પીવાનો આગ્રહ કરે છે’મેં કહ્યું, આજે તો ફોર્મ લીધા વિના નહિ જાઉં ઇન્દ્રપુરી વોર્ડની સોસાયટીમાં હું ભરેલા ફોર્મ લેવા ગઈ ત્યારે મહિલાઓએ કહ્યું, આવડતું નથી એટલે ફોર્મ ભર્યાં નથી. મેં એમને કહ્યું કે હું શીખવાડીશ, ફોર્મ લીધાં વિના નહિ જઉં. ત્યાર પછી બધી મહિલાઓને ભરેલાં ફોર્મનો નમૂનો બતાવીને ફોર્મ ભરાવ્યાં. ઘણા લોકો સહકાર આપી રહ્યા છે. કેટલાક તો ઘરે બોલાવી ચા પીવાનું કહે છે. > શિક્ષિકા એક સોસાયટીમાં ત્રણેક કલાક નીકળી જાય વડોદરા એક્સપ્રેસ સામેની સોસાયટીમાં હું ફોર્મ વહેંચવા ગઈ. 100 જેટલાં ઘર હશે, પણ તેમણે માઇકમાં એનાઉન્સ કરી બધાને બોલાવી લીધાં. આથી અડધો કલાકમાં કામ પૂરું થઈ ગયું. જ્યારે આ વિસ્તારની બીજી સોસાયટીમાં ચારેક કલાક નીકળી ગયા હતા. > શિક્ષિકા આવા પણ અનુભવ થયા ફોર્મમાં આ બે જગ્યાએ સૌથી વધુ લોકો ગૂંચવાયા

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:29 am

ભાસ્કર ઈનસાઈડ:કોયલીમાં 25 કિમી લાંબું ડ્રેનેજ નેટવર્ક નખાશે, 68 હજાર લોકોને ખાળ કૂવા ઊભરાવાના પ્રશ્નમાંથી છૂટકારો મળશે

શહેર નજીક આવેલા કોયલી ગામ અને તેની આસપાસની સોસાયટીમાં વુડા દ્વારા ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવશે. 77 કરોડના ખર્ચે વુડા 25 કિમી લાંબું નેટવર્ક નાખશે, જેને કારણે 68 હજાર લોકોને ડ્રેનેજની સુવિધા મળશે અને ખાળ કૂવા ભરાવાની સમસ્યાથી છૂટકારો મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપીપળા ખાતે વિકાસનાં કામોના લોકાર્પણ કર્યાં, જેમાં વડોદરાના વુડા વિસ્તારમાં અંકોડિયા ખાનપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને કોયલી વિસ્તારમાં નેટવર્ક નાખવાના 144 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વુડાએ ટીપી સ્કીમનો 202.43 હેક્ટર વિસ્તારને આવરી લીધો છે. કોયલી અને તેની આસપાસની સોસાયટીમાં 25.60 કિમી સુધી ડ્રેનેજ નેટવર્ક નખાશે. કોયલી ગામ અને તેની આસપાસની સોસાયટીઓના ડ્રેનેજના પાણીને એસટીપી સુધી પહોંચાડવામાં આવે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 70.44 કરોડ અંદાજવામાં આવ્યો છે. 25.60 કિમી સુધીના નેટવર્કથી કોયલી ગામ અને તેની આસપાસની અંદાજિત 40 જેટલી સોસાયટીના 68 હજારથી વધુ લોકોને ખાળ કૂવા ઊભરાવા અને ડ્રેનેજની સમસ્યાથી છુટકારો મળશે. કોયલીમાંથી નીકળતું 1.20 કરોડ લિટર પાણી શેરખી એસટીપી સુધી પહોંચાડાશેકોયલી અને તેની આસપાસની 40 સોસાયટીઓ તેમજ ફ્લેટમાંથી 1.20 કરોડ લિટર જેટલાં ડ્રેનેજનાં પાણી નીકળે છે. જે પાણી હાલમાં ખુલ્લામાં તેમજ ખાળ કૂવામાં જાય છે. વુડા ડ્રેનેજ નેટવર્ક સાથે 1.20 કરોડ લિટર પાણી પાલિકા દ્વારા બનાવવામાં આવેલા શેરખી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે લઈ જવા સુધીની લાઈન નાખવામાં આવશે. વર્ષ 2055 સુધીની વસ્તીને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. આગામી દોઢ વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. વુડા દ્વારા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં બે પંપિંગ સ્ટેશન બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પંચાયતનું નેટવર્ક હતું,40 સોસાયટીના પાણીથી ખાળ કૂવાથી ભરાતા હતાકોયલી ગ્રામ પંચાયતે ગામમાં ગટર લાઈન નાખેલી છે. જોકે આસપાસની 40 સોસાયટીમાં ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવ્યું નથી. જેને કારણે સોસાયટીના ડ્રેનેજના પાણીથી ખાળ કૂવા ભરાતા હતા. જેને ખાલી કરવાની સમસ્યા લોકોને સતાવતી હતી. જોકે ડ્રેનેજ નેટવર્ક નખાયા બાદ ગ્રામજનો સહિત સોસાયટીના લોકોને રાહત થશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:26 am

મંડે પોઝિટીવ:એક એવી હોસ્પિટલ જ્યાં આવક મુજબ કન્સલ્ટિંગ ફી લેવાય છે, મહિને 1 હજાર પગાર હોય તો રૂ.10, 5 હજાર હોય તો રૂ. 50 ફી

એલિસબ્રિજ વિસ્તારની ડો. માનસેતા ઈ એન્ડ ટી હોસ્પિટલ ફાઉન્ડેશનમાં દર્દીની માસિક આવક પ્રમાણે ફી લેવાય છે. દર્દીની આવક શૂન્ય હોય તો ફી લેવાતી નથી. આવક મહિને 1 હજાર હોય તો રૂ. 10, 2 હજાર આવક હોય તો રૂ. 20 અને 1 લાખ આવક હોય તો રૂ. 1 હજાર ફી લેવાય છે. હોસ્પિટલના ફાઉન્ડર ડો. નંદલાલ કે. માનસેતાએ 25 વર્ષ પહેલાં આ બોર્ડ લોકસેવા કરવા મૂક્યું હતું, જે આજે 4 ક્લિનિકમાં અવિરત ચાલી રહી છે. ડો. નંદલાલ માનસેતા જણાવે છે કે, હું 50 વર્ષથી ખાદી પહેરું છે, માત્ર પહેરવા ખાતર નહિ, પરંતુ હું ગાધીજીના વિચારોને વરેલો છું. ગાંધીજી કહેતા કે કોઈ નિર્ણય છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ તો 85 ટકા સફળ થાવ. મેં શારદાબેન હોસ્પિટલમાં વર્ષો પહેલા રૂ. 100ના પગારે 30 વર્ષ સુધી નોકરી કરી ત્યારે જોયું કે ગરીબ માણસો પાસે આવકનો દાખલો હોય તો તેમની સારવાર મફત થતી. આના પરથી મને આવકને ધ્યાનમાં રાખી ફી લેવાનો વિચાર આવ્યો. મફત મેડિકલ કોલેજ ખોલવાની ઈચ્છા છેઆજના યુગમાં મેડિકલનો અભ્યાસ કરવો અઘરો છે ત્યારે ડોક્ટર માનસેતાનું એક સ્વપ્ન છે કે અભ્યાસમાં તેજસ્વી પરંતુ રૂપિયાના અભાવે ભણી નહીં શકતા ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મફત મેડિકલ કોલેજ ખોલવી છે, જેના માટે પ્રયાસ કરી રહ્યા છે. કોરોના પછી ફી લેવાનું બંધ કરી દીધું હતુંડૉ. માનસતાએ કોરોના બાદથી પોતાની કન્સલ્ટિંગ ફી લેવાનું બિલકુલ બંધ કર્યું છે અને જો કોઈ દર્દી આપવા માગે તો તેને દાન પેટીમાં મૂકી દેવાનું કહેવામાં આવે છે, જે પૈસાનો ઉપયોગ ગરીબોની સેવા કરવા માટે થાય છે. 25 વર્ષ પહેલા બાપુનગરમાં સમજુબા હોસ્પિટલ ક્લિનિક શરૂ કરી. આ સાથે શારદાબેન, એલિસબ્રિજ, સેટેલાઈટ એમ ચાર જગ્યાએ આવી ક્લિનિક ખોલી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:22 am

ખર્ચાળ રિવાજોને તિલાંજલિ!:આદિવાસી ભીલ સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન

દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વસતા આદિવાસી ભીલ સમાજમાં એક મોટું અને ક્રાંતિકારી સામાજિક પરિવર્તન આવી રહ્યું છે. વર્ષોથી લગ્ન પ્રસંગોમાં થતા દેખાદેખીના અને બિનજરૂરી મોંઘા ખર્ચાઓથી અનેક પરિવારો દેવાના ડુંગરમાં ડૂબી જતા હતા અને બાળકોના શિક્ષણ-આરોગ્યની અવગણના થતી હતી. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ‘બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ-દાહોદ' અને ‘ભીલ સમાજ પંચ' દ્વારા એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. આદિવાસી સમાજમાં લગ્ન, સગાઈ, પાઘડી, જાન વગેરે પ્રસંગોએ દાપુ, વાહનોનો ખર્ચ, જમણવાર અને સોના-ચાંદીના દાગીના પાછળ ઓછામાં ઓછો 8 થી 10 લાખ જેટલો જંગી ખર્ચ થઈ જતો હતો. પરિણામે આદિવાસી ભીલ પરિવારો વ્યાજના ચક્કરમાં ફસાઈ જતા અને મજૂરી કામે જવાની ફરજ પડતી. આના કારણે બાળકોને સારું શિક્ષણ કે પોષણ મળી શકતું નહોતું. બિરસા ભવન દાહોદ દ્વારા આ પરિસ્થિતિ બદલવા માટે સમાજની આદર્શ આચાર સંહિતા અને ખર્ચ ઘટાડવા માટેની વિગતવાર માર્ગદર્શિકા (બંધારણ) બનાવી છે. આ માર્ગદર્શિકામાં લગ્ન સહિતના કાર્યોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા અને ખોટા ખર્ચા ઘટાડી તે રકમને બાળકોના શિક્ષણ અને આરોગ્ય પાછળ વાપરવાનો છે. ખર્ચ ઘટાડવાના આ આદર્શ અભિગમથી આદિવાસી ભીલ સમાજ હવે દેવામુક્ત થઈ સંગઠિત રહેવા અને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપત્તિનો ઉપયોગ કરી શકશે. આ બંધારણના સો ટકા અમલ ભવિષ્યની પેઢીઓને સંસ્કૃતિની સાચી ઓળખ સાથે પ્રગતિના પંથે દોરી જવામાં મદદરૂપ થશે. આમ, વર્ષોથી લગ્ન પ્રસંગોમાં થતા દેખાદેખીના અને બિનજરૂરી મોંઘા ખર્ચાઓથી અનેક પરિવારો દેવાના ડુંગરમાં ડૂબી જતા હતા અને બાળકોના શિક્ષણ-આરોગ્યની અવગણના થતી હતી. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ‘બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ-દાહોદ' અને ‘ભીલ સમાજ પંચ' દ્વારા એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે જેનો સો ટકા અમલ ભવિષ્યની પેઢીઓને સંસ્કૃતિની સાચી ઓળખ સાથે પ્રગતિના પંથે દોરી જવામાં મદદરૂપ થશે. દાહોદના બિરસા ભવનની આ પહેલને આદિવાસી સમાજ દ્વારા બિરદાવવામાં આવી હતી. . કયા-કયા મુખ્ય રિવાજોમાં ફેરફાર કરવામાં આવ્યોદાપુ અને દહેજ : બહેન-દીકરીનું દાપુ કે દહેજ લેવું નહીં. દાપામાં મર્યાદિત રકમ લેવા તથા બિનજરૂરી વાસણો કે સામગ્રી આપવાનું બંધ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. . ખર્ચની મર્યાદા : લગ્ન, સગાઇ, સગાઇ તોડવા, જમણવાર અને અન્ય રીતરિવાજોમાં થતા ખર્ચાઓની મહત્તમ મર્યાદા (જેમ કે ચાંદલો/દાપુ રૂ. 51000 થી વધુ ન કરવો) નક્કી કરવામાં આવી છે.સાદાઈ : લગ્નમાં સાદું ભોજન રાખવું, જરૂરિયાત મુજબની ઓછી સંખ્યામાં માણસો તથા વાહનો રાખવા. . વ્યસન મુક્તિ : બીડી, તમાકુ, ગુટકા તથા અન્ય વ્યસનોથી દૂર રહેવું. બચત અને વ્યવસાય : આવકની મર્યાદામાં ખર્ચ કરવો, દેવું કરવું નહીં. નાની-નાની બચતની ટેવ પાડવી અને ફક્ત એક જ આવક પર આધાર ન રાખતા અન્ય ધંધા-રોજગાર કરતા રહેવું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:21 am

મંડે મેગા સ્ટોરી:માત્ર 13 કોર્પોરેટરે બજેટ વાપર્યું, 119ના રૂ. 22થી 25 લાખ હજુ પણ તિજોરીમાં

મ્યુનિ.ની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે હજી સુધીમાં ફક્ત 13 જ કોર્પોરેટરે તેમનું સંપૂર્ણ બજેટ વાપર્યું છે. જ્યારે 119 કોર્પોરેટરોના બજેટના રૂ.22થી રૂ.25 લાખ હજુ સુધી વણવપરાયેલા છે. મ્યુનિ.માં ભાજપ પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિનું સૌથી વધુ 25.02 લાખ એટલે કે 57 ટકા બજેટ ખર્ચ કરવાનું બાકી છે. આ સિવાય શાહીબાગ વોર્ડના જસુભાઈ ચૌહાણનું 24.04 લાખ રૂપિયાનું બજેટ પડી રહ્યું છે. કોર્પોરેટરોને દર વર્ષે 44 લાખ રૂપિયાનું બજેટ આપવામાં આવે છે. આ બજેટ આરસીસી રોડ, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન, સ્ટ્રીટલાઈટ, બાંકડા, સર્કલ, શૌચાલય જેવા વિસ્તારનાં કામો માટે ખર્ચવાનું હોય છે. શહેરના અનેક વિસ્તારમાં હજી આ પાયાની સુવિધાઓ પહોંચી નથી. ઝૂંપડપટ્ટી.ચાલીમાં બજેટ વાપરવાની જોગવાઈ છે છતાં ત્યાં સ્થિતિ દયનીય છે. કોર્પોરેટર આ કામો માટે બજેટ ફાળવી શકે છે કોર્પોરેટરે કહ્યું- બજેટ ફાળવ્યું છે તે ખબર જ નથીશાહીબાગના કોર્પોરેટર જસુભાઈ ચૌહાણે કહ્યું, મને ધ્યાનમાં નથી કેટલું બજેટ બાકી છે. હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિએ જણાવ્યું કે, પરકોલેટિંગ વેલ માટે બજેટ ફાળવી દેવાયું છે. હજી સુધી તે ચડ્યું નથી. કાલે હું તપાસ કરાવી લઉં. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત આમણે બજેટ વાપર્યુંરેખાબેન ચૌહાણ, કમલાબેન ચૌહાણ, પ્રતિભા ડુબે, સિદ્ધાર્થ પરમાર, ભાવનાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, દીપ્તિબેન અમરકોટિયા, ભરત કાકડિયા, જયેશ ત્રિવેદી, સોનલબેન ઠાકોર, મેહુલ શાહ, સ્નેહકુમારી પરમારે તેમનું સંપૂર્ણ બજેટ વાપર્યું છે. આ કોર્પોરેટરોનું સૌથી વધુ બજેટ વાપરવાનું બાકી

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:20 am

કાર્યવાહી:મહી.માં 9 જોડાણોમાં વીજ ગેરરીતિ કરવા બદલ રૂા. 16.20 લાખનો દંડ

મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાઓમાં એમજીવીસીએલની 6 વીજ ચેકિંગ ટીમ દ્વાર વીજ જોડાણોની ચકાસણી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો હેતુ વીજળીના દુરુપયોગ અને વીજ ચોરીને અટકાવવાનો છે. જેથી કંપનીની આવક અને વીજ વ્યવસ્થાની ગુણવત્તા જાળવી શકાય. આ ચકાસણી દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કુલ 167 જેટલા વીજ જોડાણ ચેક કરેલ તેમાં 4 વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ હતી. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂા.5.30 લાખ જેટલું થાય છે. સંતરામપુર તાલુકામાં 158 વીજ જોડાણ ચેક કરેલ તેમાં 5 વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ હતા, જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા 10.90 લાખ જેટલું થાય છે. આમ, બંને તાલુકામાં કુલ 325 વીજ જોડાણમાંથી કુલ 9 જેટલા વીજ જોડાણોમાં ગેરરિતી અટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે. આ ગેરરીતિ બદલ કુલ રૂપિયા 16.20 લાખનું અંદાજિત વીજ ચોરી બિલ ફટકારવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજળીના કાયદેસર ઉપયોગ અંગે ગ્રાહકોને જાગૃત રહેવા વિનંતી કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની આકસ્મિક ચકાસણી ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:20 am

આપઘાત:મહુલીયા ગામે પિયર જતી રહેતા યુવકે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

મહુલીયા ગામના થાણા ફળિયામાં રહેતાં કિરીટભાઈ કુબેરભાઈ ખાંટ નામના યુવકે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. બીજી તરફ યુવાનના માતા ચંપાબેન ખાંટે ગોધરા તાલુકા પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું તેઓની પુત્રવધૂ છેલ્લા ચારેક માસથી પિયરમાં જતી રહી હતી. જેને અનેકવાર તેડવા જતા હોવા છતાં આવતી ન હતી. જેને લઈને યુવાન કિરીટને મનમાં લાગી આવતા 14 નવેમ્બરના રોજ રાત્રિના અરસામાં ઘરના વચલા રૂમમાં આવેલા સિમેન્ટના આડા બીમ પર દોરડા વડે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આ અંગે ગોધરા તાલુકા પોલીસે એડી નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:18 am

જીસેટની પરીક્ષા:ગોધરામાં અધ્યાપક બનવા માટે જરૂરી જીસેટની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ

એમ એસ યુનિ. વડોદરાના નેજા હેઠળ લેવાતી જીસેટની પરીક્ષા ગોવિંદ ગુરુ યુનિ.ના કુલપતિ પ્રો.હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન હેઠળ ગોધરાના વિવિધ 7 સ્થળોએ યોજાઈ હતી. જેમાં કુલ 3053 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી ગોધરા ખાતે 2497 ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં ગોધરાની કલરવ સ્કૂલ, નાલંદા સ્કૂલ, સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ, શારદા મંદિર અને સાંદિપની વિદ્યાલય ખાતે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના કોર્ડીનેટર તરીકે શ્રી ગોવિંદ ગુરુના અંગ્રેજી વિભાગના પ્રો.ડૉ .સુરેન્દ્રસિંહ ગોહિલ અને ડેપ્યુટી કોર્ડિનેટર તરીકે કાકણપુર કોલેજના આચાર્ય ડૉ.જેપી પટેલ દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:18 am

હડકાયા કુતરાએ આંતક મચાવ્યો:હમીરપુરમાં હડકાયું કૂતરું કરડતાં 5 ભેંસોના મોત દૂધ પીનારા 20થી વધુ ગ્રામજનોએ સારવાર લીધી

હમીરપુર ગામે હડકવાની અસર ધરાવતા કૂતરાએ અનેક પશુઓને બચકાં ભર્યા હતા. આ હુમલાના પગલે પાછલા 15 દિવસના ગાળામાં 5 ભેંસોના મોત થયા છે. ચિંતાજનક બાબત એ છે કે ગામના અન્ય પશુઓમાં પણ હવે હડકવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. હડકાયા કુતરા જે ભેંસોને બચકા ભર્યા હતા તેનું દુધ પીનારા 20થી વધુ ગ્રામજનોએ સિવિલમાં સારવાર લીધી છે. 5 ભેંસોના મોતથી પશુપાલકોને મોટુ નુકસાન થયું છે. ગોધરાના હમીરપુરમાં હડકાયા કૂતરાઓએ આંતક મચાવ્યો છે. છેલ્લા 15 દિવસમાં ગામમાં હડકયા કુતરાએ પશુપાલકોની ભેંસોને બચકા ભરતા ભેંસોના મોતથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. 15 દિવસના ગાળામાં 5 ભેંસોના મોતથી ચકચાર મચી જવા પામી છે.હડકયા કુ઼તરાએ ભેંસોને કરડતા તે ભેંસોના દૂધ પીનારા 20થી વધુ ગ્રામજનોએ પીધુ હતું. હડકવાથી ભેંસોના મોતથી દૂધ પીનારા ગ્રામજનોએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે હડકાયા કૂતરાએ અનેક ભેંસોને બચકા ભર્યા હોવાથી ધીરેધીરે અન્ય ભેંસોમાં પણ લક્ષણ જોવા મળી રહ્યા છે. જેથી પશુચિકિત્સકોની ટીમ હમીરપુર ખાતે આવીને તપાસ હાથ ધરી હતી. પશુચિકિત્સકની તપાસમાં હડકાયા કૂતરાએ ભેંસોને કરડવાથી ભેંસો પણ હડકાઇ થઇ છે. તેવી ભેંસોને તબીબો ચકાસણી કરીને જરુરી સારવાર આપી છે. ત્યારે ગામમાં હડકાયા કૂંતરાના આ઼તકથી પશુપાલકોની 5 ભેંસોના મોત અને અન્ય ભેંસોમાં હડકવાના લક્ષણ જોવા મળતા પશુપાલકો સાથે ગ્રામજનો ચિતિંત બન્યા છે. હાલ તો હડકાય ભેંસના દૂધ પીનાર ગ્રામજનોને સારવાર આપી છે. પશુ ચિકિત્સક દ્વારા હડકવાની પુષ્ટિ કરાઇહમીરપુર ગામે હડકાયા કૂતરાના આતંકના પગલે ભેંસના મોતના સમાચારની જાણ ગ્રામજનોએ કરતા તપાસ કરવા ગામમાં આવ્યા હતા. તપાસ કરતા ભેંસોમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા છે. સદંતર સ્થતિનું નિરીક્ષણ કર્યું ત્યારે ભેસમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. અમોએ જરૂરી સારવાર આપી હતી : ડો.અજય દેવડા, પશુ ચિકિત્સક દૂધ પીનારાઓને હોસ્પિટલ ભેગા કરાયા મોતને ભેટેલી ભેંસોનું દૂધ પીનાર 20 થી વધુ ગ્રામજનોને પણ હડકવાના સંક્રમણની આશંકાએ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમનું નિરીક્ષણ ચાલી રહ્યું છે નરવત ભાઈ, ગ્રામજન અમારી ભેંસના મોતથી અમને નુકસાન થયું છે અમારી ભેંસનું 5 દિવસ અગાઉ મોત થવા પામેલ હતું.ગામમાં જેટલી ભેંસોના મોત થયા છે. તેમાં દરેક ભેંસોના એક જેવા લક્ષણો જોવા મળી રહ્યા હતા. હડકાયા કુતરા દ્વારા કરડવાથી અમારી ભેંસમાં હડકવાયાના લક્ષણ આવ્યા છે. અમારી ભેંસના મોતથી અમને નુકસાન થયું છે: ગણપતભાઇ શના ભાઈ , પશુપાલક

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:16 am

ભાસ્કર વિશેષ:સરદાર પટેલના એકતા સૂત્રને સાર્થક કરતા કચ્છી દશા ઓશવાલ સમાજની યુવા પેઢીનું SoU ખાતે પહેલી વખત આંતરરાષ્ટ્રીય સંમેલન

વિશાલ પારાશર | અમદાવાદસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને યાદગાર બનાવવા કચ્છી દશા ઓશવાલ જૈન સમાજે યુવાશક્તિને એક પ્લેટફોર્મ પર લાવવાના ઉદ્દેશથી 20 થી 22 ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કર્યું છે. સરદાર પટેલના “એકતા જ રાષ્ટ્રની શક્તિ અને સમાજનો શ્વાસ છે” સંદેશને જીવંત કરતાં દેશ-વિદેશના યુવાનોને જોડવાનો આ પ્રયાસ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે યોજાનાર આ મહાસંમેલનમાં અમેરિકા, લંડન, ન્યૂઝીલેન્ડ, જર્મની, યુએઈ સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી 700થી વધુ યુવાનો ભાગ લેશે. યુવાનો વચ્ચે ઓળખ, નેટવર્કિંગ અને આત્મીયતાનું જીવંત મંચ તૈયાર થશે સંમેલનમાં પ્રેરણાત્મક સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્સનાલિટી બિલ્ડઅપ, સમાજ-રાષ્ટ્ર આધારિત ટોક-શો તથા રચનાત્મક પ્રવૃત્તિઓ યોજાશે. 21 ડિસેમ્બરે 300 મીટર લાંબી તિરંગા યાત્રા “યુવા એકતા દિવસ” તરીકે ઉજવાશે, જેમાં 300થી વધુ યુવાઓ ખાસ પર્ફોર્મન્સ રજૂ કરશે. સમાજના પ્રમુખ નયન ભેદા ના જણાવ્યા મુજબ, 2018ના મુંબઈ સંમેલન પછી પ્રથમવાર યુવાશક્તિ આંતરરાષ્ટ્રીય સ્તરે એકતાના મંચે જોડાઈ રહી છે. લગ્ન માટે વિકલ્પો, આંતરજ્ઞાતીય લગ્નની સમસ્યા, વ્યવસાયિક નેટવર્કિંગ અને સામાજિક ભાગીદારી જેવા મુદ્દાઓને એક પ્લેટફોર્મ પર લાવી, યુવાઓ વચ્ચે મજબૂત સંબંધો વિકસાવાશે. સમાજના 3 દિવસના કાર્યક્રમો સ્ટાર્ટઅપ અને વેપારમાં યુવાઓને સહાય કરવા આગેવાનોનું આહ્વાનકોર્ડિનેટર અનુજ લોડાયાએ આ મામલે વધુમાં જણાવ્યું કે જે યુવા સ્ટાર્ટઅપ કે વ્યવસાયમાં આગળ વધવા ઇચ્છે છે તેમને સમાજ દ્વારા માર્ગદર્શન અને સહાયતા પણ પૂરી પાડવામાં આવશે. કાર્યક્રમમાં વ્યક્તિગત રીતે હાજર ન રહી શકતા અને વિદેશમાં વસતા યુવાઓ માટે ઑનલાઇન જોડાવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. વિદેશના 15થી વધુ સભ્યોનો મહત્ત્વપૂર્ણ સહયોગસમાજના મંત્રી ચેતન મોતાએ જણાવે છે કે, અમેરિકા, લંડન, આફ્રિકા, આબુધાબી તથા યુએઈ સહિત વિવિધ દેશોમાં વસતા 15થી વધુ લોકોએ સંમેલનમાં મદદરૂપ બન્યા છે. સોશિયલ મીડિયા દ્વારા વિદેશમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતા 10-12 જેટલા યુવાનો ખાસ આ કાર્યક્રમ માટે કેવડિયા આવશે.​​​​​​​

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:14 am

મહિલાઓ દ્વારા સુંદરકાંડ:મહિલાઓએ મંડળી બનાવી, નિ:શુલ્ક ‘સુંદરકાંડ’ કરાવે છે

સુંદરકાંડ મંડળીનું નામ સાંભળતા જ દરેકના મનમાં પુરુષોના ગ્રૂપની છબી ઉભરી આવે છે, પરંતુ ગુજરાતના સુરતમાં એવું નથી. સુરતમાં મહિલાઓ ઘરે-ઘરે જઈને સુંદરકાંડનો પાઠ કરાવે છે. તેનું નામ ‘આશીર્વાદ સુંદરકાંડ મહિલા મંડળ’ છે. 14 વર્ષ પહેલાં ચાર-પાંચ સહેલીઓએ સાથે મળીને આ મંડળી બનાવી હતી. આજે, તેમાં 32 સભ્ય છે. તેઓ દર મહિનાના કોઈપણ મંગળવાર કે શનિવારે સુંદરકાંડનો પાઠ કરાવે છે અને આ માટે કોઈ ફી લેતા નથી. સુંદરકાંડ ઉપરાંત આ મંડળીએ ત્રણ વખત શ્રીમદ્ ભાગવત કથાનું પણ આયોજન કર્યું છે. આ મંડળીના સભ્ય ઉષાબેનએ જણાવ્યું હતું કે તે સંબંધીઓ અને બહેનપણીના ઘરે સુંદરકાંડના પાઠમાં હાજરી આપે છે. આ પાઠથી તેમનું મન એટલું પ્રભાવિત થયું કે તેઓ સોસાયટીમાં જ એક મંડળી બનાવવાનું વિચારી રહ્યા છે. શરૂમાં સોસાયટીની ફક્ત ચાર કે પાંચ મહિલા ભેગી થતી અને માઈક કે સાઉન્ડ સિસ્ટમ વિના સરળ પાઠ કરતા હતા. ધીમે-ધીમે અન્ય મહિલાઓ પણ આ મંડળીમાં જોડાવા લાગી. ભક્તિનો આગળનો તબક્કો: વિશાળ કથાનું પણ આયોજનમહિલા મંડળે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે પણ પોતાની સેવાઓનો વિસ્તાર કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી મંડળ દર વર્ષે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરી રહ્યું છે. આવતા વર્ષે 2થી 10 જાન્યુઆરી 2026 દરમિયાન સુરતમાં નવ દિવસની વિશાળ શિવ મહાપુરાણ કથા અને ભંડારાનું આયોજન કરાશે. ગયા વર્ષે કથા વૃંદાવનમાં યોજાઈ હતી. કથા દરમિયાન મંડળ દરરોજ ભક્તોને ભંડારા સેવાઓ પૂરી પાડે છે. કોઈ પૈસા લેવાતા નથી. સેવા ગ્રુપ પણ... સૂત્ર છે ‘સેવા દ્વારા જ વિજય મેળવશો’સુંદરકાંડના પાઠ ઉપરાંત મંડળ પાસે એક સક્રિય સેવા ગ્રૂપ પણ છે, જેનું સૂત્ર છે ‘સેવા દ્વારા જ વિજય મેળવશો.’ આ જૂથ નિયમિતપણે વૃંદાવન અને સુરતમાં સમુદાયના રસોડામાં સેવા આપે છે. તેઓ શહેરમાં જરૂરિયાતમંદોને તબીબી અને શૈક્ષણિક સહાય પણ પૂરી પાડે છે. શહેરમાં અનેક સ્થળોએ પીવાના પાણીના સ્ટોલ પણ સ્થાપિત કર્યા છે.​​​​​​​ મંડળી નકામા ખર્ચને રોકવાનો પ્રયાસ કરે છેમહિલા મંડળી સુંદરકાંડ પાઠ દરમિયાન નકામા ખર્ચને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેથી, પાઠમાં હાજરી આપનારા સભ્યો અને ભક્તો માટે ચા અને પાણીની સરળ વ્યવસ્થા જ કરવામાં આવે છે. સેવાઓનો તમામ ખર્ચ બધા સભ્યો દ્વારા વહેંચવામાં આવે છે.​​​​​​​

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:11 am

માત્ર રાહત પેકેજની વાહવાહ!:શિનોર કરજણમાં સીસીઆઇનું કોઈ સેન્ટર શરૂ નહીં થતાં ખેડૂતોને હાલાકી

શિનોર તાલુકામાં કપાસ પકવતા ખેડૂતોના ખેતરમાં કમોસમી વરસાદના કારણે કપાસના પાન લાલ થઈ ગયા છે. જીંડવા કહોવાઇ ગયા અને કપાસની ક્વોલિટી બગડી જતાં ખેડૂત પાયમાલ થયો છે. ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદના કારણે શિનોર - કરજણ તાલુકાના કપાસ પકવતા ખેડૂતોનો ઉભા કપાસના પાંદડા લાલ થઈ ગયા છે. જીંડવા કહોવાઇ ગયા અને કપાસની ક્વોલિટી બગડી ગઈ છે. બજારમાં ખાનગી વેપારીઓ વધ્યા ઘટ્યા આ કપાસને માત્ર રૂા. 5,000થી 6000માં ખરીદી ખેડૂતોને વધુ નુકસાન કરી રહ્યા છે. કરજણ - શિનોરમાં બજાર સમિતિ હોવા છતાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવ રૂા. 8060થી કોઈ ખરીદતું નથી. સાધલીમાં ત્રણ સહકારી જીનિંગ પ્રેસીંગ સોસાયટી બંધ થઈ ગયેલ છે. સી.સી.આઇનું એક પણ સેન્ટર શિનોર- કરજણમાં શરૂ થયેલ નથી, જેથી ખેડૂતો ખાનગી વેપારીઓ પાસે લુંટાઇ રહ્યા છે. ખેડૂતોના નેતાઓને કિસાન રાહત પેકેજની વાહ વાહ કરવામાંથી ટાઈમ મળતો નથી. સીસીઆઈ ચાલુ કરાવવામાં કોઈ નેતાને રસ નથી. સરકાર દ્વારા આ કમોસમી વરસાદથી થયેલ નુકસાની બદલ સહાયના ફોર્મ તારીખ 14 નવેમ્બર 2025 બપોરના 12 વાગ્યા પછી 15 દિવસ માટે ઓનલાઇન VCE મારફત ભરવા જાહેરાત કરેલ છે. કટિયાં કાઢવામાં ખેડુતોને મુશ્કેલી, સર્વર કામ કરતું નથીસહાયના ફોર્મ ભરવા માટે આધારકાર્ડ, 7-12, 8-અ ના ઉતારા, બેંક પાસબુક, તલાટીનો વાવેતરનો દાખલો, સંયુક્ત ખાતામાં સંમતિપત્ર, મૃતક કિસ્સામાં પેઢીનામુ જેવા કાગળો રજુ કરવાના છે. કટિયાં કાઢવામાં મુશ્કેલી એ છે કે સર્વર કામ આપતું નથી. નવા કટીંયાંના ઉતારાની ફીની રકમ, ઉપરાંત VCE દ્વારા આધારકાર્ડ, બેંક પાસબુક, સંમતિ પત્રની ઝેરોક્ષ કાઢી અપાય છે, એની ફી લે છે. ઓનલાઇન કરવાની કોઈ ફી લેવાતી નથી. ઓનલાઇન કરેલા કાગળોની કોપી ખેડૂતો માંગતા હોઇ કોપીના કાગળોની ટોકન રકમ લેવાય છે. એમ VCE મારફત જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:08 am

રાજ્યપાલ સાથે 24 કલાક:એવા રાજ્યપાલ જેઓ ગામની શેરીમાં સફાઈ કરે, ગાય દોહે અને ખેતરમાં હળ પણ ચલાવી જાણે છે

વિજયસિંહ ચૌહાણ, માણેકપુર ગામ (ગુજરાત)થી કોઈ રાજ્યપાલ ગામડાંમાં જાય, ત્યાંની સ્કૂલમાં રાત વિતાવે, કોઈ સામાન્ય માણસના ઘરે ભોજન લે, કોઈની ગાયનું દૂધ દોહે, કોઈના ખેતરમાં હળ ચલાવે અથવા પાક લણે. સાંભળવામાં અશક્ય લાગશે, પરંતુ વાસ્તવમાં આવું થઈ રહ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 15 ઓગસ્ટથી આ કામ કરી રહ્યા છે. તે અંતર્ગત તેઓ અઠવાડિયે-પંદર દિવસે કોઈ એક ગામમાં પહોંચી જાય છે, ત્યાં ગ્રામજનો સાથે ભળીને તેમના જેવું જ જીવન જીવે છે અને ગામની જ શાળામાં રાત વિતાવે છે. વ્યવસાયે ખેડૂત અને શિક્ષક રહી ચૂકેલા આચાર્ય દેવવ્રતનું ગામના વિકાસ માટેનું આ રાજભવન મૉડલ છે. અત્યાર સુધીમાં તેઓ 11 ગામમાં જઈ ચૂક્યા છે અને તેમની યોજના રાજ્યના 276 તાલુકાના ગામની મુલાકાત લેવાની છે. આ અભિયાન હેઠળ 10-11 નવેમ્બરે તેઓ તાપી જિલ્લામાં હતા. અહીં તેમણે ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં આખો દિવસ વિતાવ્યો. એ વખતે દિવ્ય ભાસ્કરની ટીમ 24 કલાક સાથે હતી. વાંચો, તેમનું મિશન, વિઝન અને તેમણે 24 કલાકમાં શું-શું કર્યું. ભાસ્કર: રાજ્યપાલ એક બંધારણીય પદ, જનપ્રતિનિધિઓ જેવું કામ શા માટે કરો છો?રાજ્યપાલ દેવવ્રત કહે છે- પહેલાં તો હું સ્પષ્ટ કરી દઉં કે ન તો મારી કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા છે અને ન તો હું ગુજરાતમાં ચૂંટણી લડી શકું તેમ છું. હું નથી ઈચ્છતો કે માત્ર રાજભવનમાં જ બેસી રહું. હું એક શિક્ષક અને ખેડૂત છું. હું એક પ્રેક્ટિકલ માણસ છું – મેં પ્રાકૃતિક ખેતી કરી એમાં 100 ટકા સફળતા મેળવી છે, એ અનુભવના આધારે હું કહી શકું છું, મારી વાતો હવામાં નથી. યુરિયા, ડીએપી અને જંતુનાશકોએ જમીનથી લઈને આપણા શરીરમાં પણ ઝેર ઘોળી દીધું છે (તેઓ દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટનો હવાલો આપે છે કે – ‘તમે જ છાપ્યું છે કે 105 માતાઓના દૂધના સેમ્પલનો રિપોર્ટ કરાવ્યો તો તેમાંથી અનેક સેમ્પલમાં યુરિયા મળ્યું’). મારી વાતો સાંભળ્યા બાદ રાજ્યમાં 8-9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે, પણ એ સંખ્યા ઓછી છે. મારી વાતો કોઈને સારી લાગે છે, તો કોઈને માત્ર ઉપદેશ. એટલે મને થયું કે હું પોતે જ ગામડાઓમાં જઈને સૌ સાથે જોડાઈ જાવ. હું ગામડામાં જઈને ઝાડુ લગાવું છું. એ કામ તો પ્રતીકાત્મક જ હોય પરંતુ એટલો સમય હું તેમની સાથે વાતો કરીને મહિનામાં એક વખત સફાઈ માટે મનાવી લઉ છું. એ જ રીતે, હું કોઈની ગાયનું દૂધ દોહું છું અને તેમને ગૌનસલ સુધારણાની રીત જણાવું છું કે કેવી રીતે 10 લીટર દૂધ આપતી ગાય પાસેથી 40 લીટર દૂધ પણ લઈ શકાય. ખેતરમાં હળ ચલાવીને તેમને જણાવું છું કે કેવી રીતે હજારો રૂપિયાનું રાસાયણિક ખાતર નાખવાની જગ્યાએ ગાયના છાણથી ન્યૂનતમ ખર્ચે વધુ પાક લઈ શકાય છે. લોકોને સારું સ્વાસ્થ્ય મળશે. અત્યારે તો એવી હાલત છે કે ખેડૂત તો દૂર, કૃષિ વિભાગના લોકોને જ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીમાં અંતર ખબર નથી! લોકો ઓર્ગેનિક ખેતીને જ જૈવિક ખેતી સમજવાની ભૂલ કરે છે. એ ખેતી પણ જો લાભકારક ન હોય તો તેમાંય નવીનીકરણ કરવું પડે. ગ્રામીણ પ્રવાસ વખતે કોઈના ઘરે રોકાઉં તો લાગે કે આ રાજ્યપાલનો માણસ હશે, એટલે સ્કૂલમાં જ રાતવાસો કરું છું. એ બહાને બાળકો સાથે વાતો પણ થાય. શિક્ષકો પણ પ્રોત્સાહિત થાય. કોઈ સામાન્ય માણસના ઘરે જમવા જાઉં છું, જેથી તેમને અને ગામની તમામ વાતોને નજીકથી સમજી શકું. એના પછી ગ્રામ સભા કરું છું. એ વખતે ગામને મોડેલ વિલેજ બનાવવાની બધી રીત જણાવુ છું. હું તેમની વચ્ચે તેમના જેવો જ રહીને તેમને સમજું છું. શક્ય છે, તેનાથી એ લોકો પર મારી વાતની વધારે અસર થાય. મારા પ્રવાસોને કારણે ગામના અમુક પ્રશ્નો તો આપમેળે જ ઉકલી જાય છે. હું હેલ્થકેમ્પ કરીને સ્વાસ્થ્ય સુધારણ પર પણ ધ્યાન આપુ છું. જેમના ઘરે ભોજન લે છે, તેમને રાજભવન આમંત્રિત કરે છેરાજ્યપાલ ગામોમાં જે ઘરોમાં ભોજન લે છે, તે પરિવારોને પોતાના ઘર એટલે કે રાજભવન પણ આમંત્રિત કરે છે. તેઓ જૈવિક ખેતીથી એક ડગલું આગળ વધીને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે. ગામ આવવાના રસ્તામાં વિમાન મોંથા વાવાઝોડાનો રિપોર્ટ હાથમાં લઇને કહ્યું, તસવીર જૂઓ- રાસાયણિક ખેતીવાળા કેળા પાતળા થડોના કારણે નીચે પડી ગયાં છે. પ્રાકૃતિક કૃષિના થડ મોટા અને જમીનમાં પકડ હોવાથી ટકી રહ્યાં.​​​​​​​ રાજ્યપાલ સાથે 24 કલાક : ગાયોની નસલ સુધારવાની પદ્ધતિઓ, પ્રાકૃતિક ખેતી શીખવાડી પહેલો દિવસ​​​​​​​ : બપોરે 2:02 વાગ્યે , અમદાવાદ એરપોર્ટ​​​​​​​સ્ટેટ હેંગરની દીવાલમાં ઊગેલા પીપળનું ઝાડ બતાવીને કહ્યું : “જુઓ, વૃક્ષો-છોડ જમીનમાંથી માત્ર 1.50% જ પોષણ લે છે, બાકીનું માત્ર હવા અને તેમાં રહેલા પાણીમાંથી.’ સાંજે 5:00 વાગ્યે - માણેકપુર સ્કૂલ “વાહ, આ અત્યાર સુધી મળેલો સૌથી સારો ઓરડો છે’ (સ્કૂલનો આ રૂમ 2024 માં જ બન્યો હતો). અધિકારીને પૂછે છે: “બતાવો આજનું શિડ્યૂલ શું છે.’​​​​​​​ સાંજે 5:30, ગામની એક શેરીમાં સફાઈ કરીગામમાં પહોંચી તેમણે જાતે ઝાડુ પકડી સફાઈ કર્યા બાદ તેમણે કહ્યું, “જુઓ, ઝાડુ લગાવવાથી હું વધારે મોટો થઈ ગયો.’ ગામ પાસેથી વચન માંગે છે કે અઠવાડિયે એક કલાક સફાઈ કરશે.​​​​​​​ સાંજે 7:00,આદિવાસી પરિવારના ઘરે ભોજનકાચા ઘરમાં લાકડાનો ચૂલો અને અનાજ સંગ્રહની વ્યવસ્થા જોઈને કહે છે: “તમે પરંપરા જીવંત રાખી છે, વાહ! ઘરમાં ગરમી પણ નહીં લાગતી હોય.’ તેમણે અહીં ભોજન પણ કર્યું.​​​​​​​ રાત્રે 8:15, પંચાયત ભવનગ્રામ સભામાં ખાટલા પર બેસીને, “કોની પાસે કેટલી જમીન છે’ પૂછે છે. તેમાં કેવી રીતે ઉપજ વધારવી તે સમજાવે છે. વધારાની આવક માટે ગાય પાળવા વિશે જણાવે છે. મહિલાઓને કહે છે: “બાળકોના જલ્દી લગ્ન ન કરાવશો. ભણવા-લખવા અને રમવા દેજો. આગળ વધશે તો પરિવાર, ગામ અને દેશનું નામ રોશન કરશે.​​​​​​​ બીજો દિવસ​​​​​​​ : સવારે 6:30 - એક ખેડૂતનું ઘર​​​​​​​ગાયનું દૂધ દોહે છે, સમજાવે છે કે: “મેં નસલમાં સુધારો કરીને 400થી વધુ ગાય પાળી છે.​​​​​​​ સવારે 7:15 વાગ્યે - એક ખેડૂતનું ખેતરહળ ચલાવતા, “જુઓ, સવારે ખેડાણ કરશો તો વધારે ફાયદો થશે. માટીમાં રાસાયણિક ખાતરની જગ્યાએ છાણનું ખાતર નાખો. ખેતર બંજર નહીં થાય.​​​​​​​ સવારે 10:00- ઉચ્છલની સ્કૂલવિદ્યાર્થીને: “ખૂબ ભણો, વિદ્યા – એવું ધન છે જેને ચોર ચોરી નથી શકતો.​​​​​​​ સવારે 11:00 - હરિપુર ગામખેતરોમાં યુરિયા, ડીએપી અને જંતુનાશક ન નાખો. ગુજરાતમાં દરરોજ 780 કેન્સરના દર્દી આવે છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ લો. બપોરે 12:40 વાગ્યે ગામથી ગાંધીનગર માટે પ્રસ્થાન

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:08 am

ગામ ગામની વાત:માળિયાનું જૂનું ઘાટીલા ગામ ભલે છેવાડાનું રહ્યું, સુવિધાની બાબતમાં નં. વન‎

મોરબીમાં માળિયા મી. તાલુકો વિકાસની દ્રષ્ટિએ સૌથી વધુ પછાત હોવાની વચ્ચે જુના ઘાટીલા ગામ છેવાડાનું હોવા છતાં આ ગામ અંતરિયાળને બદલે સુવિધામાં નંબર વન હોવાથી ગામમાં લીલાલહેર છે. જુના ઘાટીલા ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈના જણાવ્યા મુજબ જુના ઘાટીલા ગામની હાલ વસ્તી 7 હજાર છે. ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન છે. પશુપાલનમાં ઘેટા બકરા, ગાય, ભેંસ 30 હજાર આસપાસ પશુઓ છે. જુના ઘાટીલા ગામે પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આર્યુવેદીક કેન્દ્ર, એક પશુ દવાખાનું યોગ્ય રીતે ચાલે છે. આ ત્રણેયનો ગામલોકોને યોગ્ય રીતે લાભ મળે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ ગામમાં એક બે નહિ પણ ચાર ચાર આંગણવાડી છે. 1થી 8ની પ્રાથમિક શાળા, અલગ કન્યા શાળા ઉપરાંત 1થી 5 ધોરણ સુધીની શાળામાં કુમારો અને કન્યાઓ ભણે છે. આ ઉપરાંત 9થી 10 સુધીની હાઇસ્કુલ હોય એટલે ગામમાં શિક્ષણનું માળખું મજબૂત છે. હાલ આ ચારમાંથી એક સ્કૂલનું પાયાથી જ નવીનીકરણ રૂ.3 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણીની કોઈ સમસ્યા નથી અને ઉનાળામાં પણ પાણીની તકલીફ ઊભી થતી નથી. ગામમાં 100 ટકા ગટર વ્યવસ્થા, 95 ટકા રસ્તા થઈ ગયા છે અને ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટ્રેકટરની વ્યવસ્થા છે. અગત્યના ડોક્યુમેન્ટ માટે માળિયા સુધી ધક્કો નહીં‎ જૂના ઘાટીલામાં અત્યાર સુધી એકેય વાતનું દુઃખ ન હતું. પણ હવે નવી ઉપાધી આવી છે. જેમાં માવઠાથી મોટાભાગના ખેડૂતોના પાકોનો નાશ થયો છે. આ નુકશાનીના વળતર રૂપે સરકારે સહાય જાહેર કરી હોય પણ એમાં ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય બધી કામગીરી એકસાથે થતી હોવાથી નેટ પ્રક્રિયા ખોરવાય છે. ખેડૂત સહાય ફોર્મની ઓનલાઈન પ્રક્રિયામાં સમસ્યા ઉદભવી‎ જૂના ઘાટીલાના ગામલોકોને માળીયા સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે માટે ગ્રામ પંચાયતમાં સરકારની લોક ઉપયોગી આયુષ્યમાન યોજના, મુખ્યમંત્રીની વિવિધ યોજના, વૃદ્ધ પેન્શન, સહિતની યોજનાઓ, 7/12 સહિતના ડોક્યુમેન્ટ, આધારકાર્ડમાં અપડેટ, રેશનકાર્ડમાં સુધારા વધારા સહિતની મોટાભાગની કામગીરી કરવામાં આવે છે. એટલે આવી કામગીરીમાં ગામલોકોને ક્યાં જવું તેની મુંઝવણનો સામનો ન કરવો પડે તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરાઈ હોવાથી ગ્રામજનોને મુશ્કેલીમાંથી રાહત થાય છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:06 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હીમાં બ્લાસ્ટ થયેલી કારનો માલિક ઝડપાયો, લાલુની પુત્રીએ કહ્યું- મને ચપ્પલ મારવા દોડ્યા; ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીના પત્ની-બે સંતાનની લાશ મળી

નમસ્તે, કાલના મોટા સમાચાર દિલ્હીમાં બ્લાસ્ટ થયેલી કારનો માલિક ઝડપાયો તેના વિશેના રહ્યા. તેણે ઉમર સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું. બીજા સમાચાર લાલુની પુત્રી પર ચપ્પલ ઉગામવાના આરોપ સાથે સંબંધિત છે. આ ઉપરાંત, 15 વર્ષ પછી ભારતે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ મેચમાં કેવી રીતે હારનો સામનો કરવો પડ્યો એ પણ જણાવીશું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સહારા ગ્રુપના કર્મચારીઓના બાકી પગાર અંગેના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. 2. તેલંગાણામાં બીઆરએસ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. કાલના મોટા સમાચારો 1. દિલ્હીમાં બ્લાસ્ટ થયેલી કારનો માલિક ઝડપાયો:NIAએ આમિરને દિલ્હીમાંથી પકડ્યો, તેણે આતંકી ઉમર સાથે બ્લાસ્ટનું કાવતરું રચ્યું દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAએ રવિવારે આતંકી ઉમરના સાથી આમિર રાશિદ અલીની દિલ્હીથી ધરપકડ કરી છે. તેણે ઉમર સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું. તે જમ્મુ-કાશ્મીરના પમ્પોરના સંબૂરાનો રહેવાસી છે. i20 કાર આમિરના નામે જ રજિસ્ટર્ડ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકી ડૉ. ઉમર નબી સાથે જોડાયેલા કેટલાક લોકોને પકડ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે ડોક્ટરોવાળું આ વ્હાઇટ-કોલર મોડ્યુલ ગયા વર્ષથી એક સુસાઈડ બોમ્બર શોધી રહ્યું હતું અને તેની જવાબદારી ઉમર પર હતી. વાંચો સંપૂર્ણ સમાચાર... 2. રાબડી નિવાસ ખાલી, રોહિણી પછી 3 દીકરીઓ દિલ્હી રવાના: રોહિણીએ કહ્યું- મને ગંદી કહી, મારવા માટે ચપ્પલ ઉઠાવી, મારા માતા-પિતા અને બહેનો રડી રહ્યાં હતાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર પછી લાલુ પરિવારમાં ટકરાવ વધી ગયો છે. રાજકારણ છોડવા અને પોતાના પરિવાર સાથે સંબંધ તોડવાના એલાનના એક દિવસ પછી રોહિણી આચાર્યએ એક પછી એક 2 સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેજસ્વી યાદવ અને સંજય યાદવ પર ગંભીર આરોપો લગાવ્યા. રોહિણીએ X પર લખ્યું- 'મારાથી મારું પિયર છોડાવવામાં આવ્યું. મને અનાથ બનાવવામાં આવી. મેં રડતાં-રડતાં ઘર છોડ્યું છે. મને મારવા માટે ચપ્પલ ઉઠાવવામાં આવી. ગઈકાલે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે હું ગંદી છું, અને મેં મારા પિતાને મારી ખરાબ કિડની આપી, કરોડો રૂપિયા લીધા, ટિકિટ લીધી, અને પછી ખરાબ કિડની આપી.' વાંચો સંપૂર્ણ સમાચાર... 3. થરૂરે કહ્યું-આતંકવાદ 1989-90માં કાશ્મીરથી શરૂ થયો:હવે તે દિલ્હી અને મુંબઈ સુધી ફેલાઈ ગયો છે, ફારુકે કહ્યું હતું- દરેક કાશ્મીરી સવાલોના ઘેરામાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે રવિવારે કહ્યું, આતંકવાદ 1989-90માં કાશ્મીરથી શરૂ થયો હતો અને ધીમે ધીમે મુંબઈ, પુણે અને દિલ્હી સુધી ફેલાઈ ગયો. ભારત છેલ્લા 30 વર્ષથી આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યું છે. હવે, મજબૂત અને અસરકારક કાર્યવાહીની જરૂર છે. થરૂરનું આ નિવેદન જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાના દિલ્હી બોમ્બ વિસ્ફોટ પરના નિવેદનના જવાબમાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર... 4. ભાસ્કર એક્સક્લૂસિવ- નવી બિહાર સરકારમાં NDAના સંભવિત 18 મંત્રી:નીતિશ કાલે રાજીનામું આપશે, ડેપ્યુટી CMની રેસમાં સમ્રાટ સહિત ત્રણ નામ બિહારમાં હવે નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. JDUએ આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. નીતિશ કુમારને તેમના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે એટલે કે સોમવારે મળવાની અપેક્ષા છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર 17 નવેમ્બરના રોજ રાજ્યપાલને રાજીનામું આપશે અને તે જ દિવસે નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી શકે છે. મુખ્યમંત્રી ગૃહના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર 20 નવેમ્બરના રોજ 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર... 5. ઘરમાં સા. આફ્રિકા સામે 15 વર્ષ પછી હારી ટીમ ઈન્ડિયા:124 રન પણ ચેઝ કરી શકી નહીં, ભારત 93 રન જ બનાવી શક્યું; ગિલ બેટિંગ કરવા ઉતર્યો નહીં ભારતને સાઉથ આફ્રિકા સામેની કોલકાતા ટેસ્ટમાં 30 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે 15 વર્ષ બાદ પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે કોઈ મેચ ગુમાવી છે. છેલ્લી હાર 2010માં ગ્રીમ સ્મિથની કેપ્ટનશીપમાં નાગપુરમાં મળી હતી. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવારે 124 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ભારતીય ટીમ 9 વિકેટે 93 રન જ બનાવી શકી. વાંચો સંપૂર્ણ સમાચાર... 6. ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને પુત્ર-પુત્રીની લાશ મળી:10 દિવસ પહેલાં ઘરથી 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા, ACF પતિએ હત્યા કરી હોવાની આશંકા, અંતિમવિધિ કરાઈ ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાોનીની ફોરેસ્ટ કોલોનીમાં આવેલા તેમના ઘરથી 20 ફૂટ દૂરના અંતરેથી ખાડામાં દાટી દીધેલી લાશો મળી છે. 5 નવેમ્બરના રોજ નયનાબેન પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સાથે 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. ત્યાર બાદ જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ત્રણેયની હત્યા કરી લાશ દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. આ પહેલાં ભાવનગરની ભરતનગર પોલીસને ઘર પાસે થયેલા ભેદી ખોદકામ અંગે બાતમી મળી હતી. જેને પગલે પોલીસે આજે ત્યાં ખોદકામ કર્યું હતું અને ત્રણેયની ડેડબોડી બહાર કાઢી હતી. ભાવનગર એસપી નિતેશ પાંડેએ કહ્યું કે, ACF(આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ) પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર... 7. 'અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી CM ન બનાવ્યા તેનું દુઃખ થવું જોઈએ':માણસામાં ઠાકોર સમાજના નેતાઓને ઋષિ ભારતી બાપુએ કહ્યું- 'પોઝિશનીંગ નથી જોઈતી પાવરમાં આવો' ગાંધીનગર જિલ્લાના માણસાના ધમેડામાં યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુ દ્વારા અલ્પેશ ઠાકોરને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ છે. જે કાર્યક્રમમાં ઠાકોર સમાજના તમામ પક્ષના નેતાઓ હાજર હતા ત્યાં સંબોધન દરમિયાન ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, આ વખતે અલ્પેશજી ઠાકોર ડેપ્યુટી સીએમ બને તે માટે પ્રયાસો ચાલુ હતા , ગાંધીનગરમાં બેઠક કરી છતા બાકાત રહ્યા.એ વાતનું દુઃખ થવું જોઈએ. ઠાકોર સમાજના નેતાઓને ગુજરાતમાં અને દેશમાં સમાજની વસતીના આંકડા જણાવી કહ્યું કે, આપણે પોઝિશનિંગમાં નહીં પાવરમાં આવવાની જરુર છે. રાજકીય પક્ષો આપણી નબળી કડી જાણે છે એટલે ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર... આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આતંકવાદી મોડ્યુલના કોન્ટેક્ટવાળા 200 લોકો રડાર પર:ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીને મદદના નામે પૈસા આપતો હતા; અત્યાર સુધીમાં 60 લોકોની અટકાયત (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : હસીનાની સજા પહેલા બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી: પાંચ જિલ્લાઓમાં હાઇવે જામ, આગચંપી; રાજધાની ઢાકામાં સેના તહેનાત (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : તેજ પ્રતાપે કહ્યું-એક ઈશારો...જયચંદોને જમીનમાં દાટી દઈશું:તેજસ્વી ફેલસ્વી છે, બહેન રોહિણીને કાઢી મુકવા બાબતે મારા હૃદયને હચમચાવી નાખ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : અમેરિકા દક્ષિણ કોરિયાને પરમાણુ સબમરીન બનાવવામાં મદદ કરશે:સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- કિમ જોંગઉનનો સામનો કરવા માટે સબમરીનની જરૂર (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : આ અઠવાડિયે બજારમાં 2 નવા IPO ખુલશે:એક્સેલસોફ્ટ ટેક્નોલોજીસ ₹500 કરોડ એકત્ર કરશે; 7 IPO લિસ્ટેડ થશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.એન્ટરટેઇનમેન્ટ: 'તુમ જીયો હજારો સાલ...':ધર્મેન્દ્ર સ્વસ્થ થતાં જ હેમા માલિનીએ 90મા બર્થ-ડેનું પ્લાનિંગ શરૂ કર્યું; 8 ડિસેમ્બરે દેઓલ પરિવારમાં જલસા પાર્ટી! (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વિવાહ પંચમીએ રામ-સીતાના લગ્ન થયા હતા:લગ્ન જેવાં શુભ કાર્યો માટે આ દિવસ કેમ નિષેધ છે? જાણો આ પ્રસંગ સાથે જોડાયેલી ધાર્મિક દંતકથા (વાંચો સંપૂર્ણ સમાચાર) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે વિશ્વની સૌથી નાની ગાયનો જન્મ છત્તીસગઢના જશપુર જિલ્લામાં આર્ટિફિશિયલ-ઈનસેમિનેશનથી પુંગનૂર પ્રજાતિની વાછરડીનો જન્મ થયો છે. પુંગનૂર પ્રજાતિની ગાય લગભગ 3 ફૂટ ઊંચી હોય છે. આ ગાયની કિંમત 2થી 10 લાખ જેટલી હોય છે. ગાય 5 લીટર સુધી દૂધ આપે છે. દૂધની કિંમત 1000 રૂ. પ્રતિ લીટર સુધી હોય છે, જ્યારે ઘી 50 હજાર રૂ. પ્રતિ કિલોના ભાવે વેચાતું હોય છે. PM મોદી પાસે પણ આ જ પ્રજાતિની ગાયો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી- ગુજરાતના એવા હાઇવે જ્યાં જાણે 'યમરાજ' બેઠાં છે!:અહીંથી નીકળો તો સાવધાન રહેજો, 348 લોકોને કાળ ભરખી ગયો, આ રહ્યું જિલ્લાવાર લિસ્ટ 2. ગ્રાઉન્ડ રિપોર્ટ - બ્લાસ્ટનો અવાજ 20 કિલોમીટર દૂર સંભળાયો:સાયખા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ વખતે આસપાસની ફેક્ટરીના પાયા હલી ગયા, મજૂરો ફેક્ટરીમાં જ સૂતા'તા 3. ખાખી કવર - નિઠારીનો નરભક્ષી ફાંસીના બે કલાક પહેલાં છૂટી ગયો!:સુરેન્દ્ર કોલી નિર્દોષોના મૃતદેહ સાથે સેક્સ માણતો, યુવતીઓનાં સ્તન-નિતંબ રાંધીને ખાતો 4. પરિવારને ભોજનમાં ઊંઘની દવા ખવડાવી સગીરા પર દુષ્કર્મ:ખંભાતના એક ગામમાં મિત્રની મદદથી યુવકે બાથરૂમમાં પીંખી નાખી, બંને આરોપીને પકડવા પોલીસે ટીમો બનાવી 5. ભારતી સિંહના બેબી શાવરમાં સેલેબ્સ મન મૂકીને નાચ્યાં:'લાફ્ટર શેફ્સ'ની ટીમે કોમેડિયનને સરપ્રાઇઝ આપી, ટીમ બેબી ગર્લે ધમાલ મચાવી 6. એક્ટ્રેસ નૂપુર ભીખ માગીને ગુજરાન ચલાવે છે:બેંક કૌભાંડમાં કરોડો ગુમાવ્યા, દેવું થયું; બહેન અને માતાની હત્યાથી ભાંગી પડી; પતિને છોડીને સાધ્વી બની ગઈ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રાશિફળ સોમવારનું રાશિફળ:કર્ક રાશિના લોકો માટે આજે લાભદાયી સ્થિતિ બનેલી રહેશે; મીન જાતકોના ઘણાં મહત્ત્વપૂર્ણ કાર્યો સંપન્ન થશે વાંચો સંપૂર્ણ સમાચાર...

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:00 am

ઠંડીનો પગપેસારો:મોરબી જિલ્લામાં ધીમા પગલે ઠંડીનો પગપેસારો

કમોસમી વરસાદને પગલે ચાલુ વર્ષે શિયાળાની શરુઆત મોડી થઇ છે, નવેમ્બર માસના બે સપ્તાહ જેટલો સમય થવા આવ્યો છતાં કડકડતી ઠંડી અનુભવાઈ નથી. છેલ્લા કેટલાક દિવસથી વહેલી સવારે અને રાત્રીના હળવો ચમકારો અનુભવાય છે પરંતુ દીવસે તો હજુ પણ ગરમીનો જ અહેસાસ થાય છે. રાતે અને વહેલી સવારે આંશિક ઠંડક અનુભવવા મળે છે. મોરબી જિલ્લામાં રવિવારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોધાયું હતું. જો કે આગામી દીવસોમાં ઠંડી અસલી મીજાજ કેળવશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:58 am

હાકલ:100 લુખ્ખા 5 લાખ પાટીદારોને દબાવે તો તો ડૂબી મરવા જેવું થાય : મનોજ પનારા

મોરબીના પંચાસર રોડ પર પાટીદાર યુવા સેવા સંઘનું સ્નેહમિલન યોજાયું હતું, આ તકે અગ્રણી મનોજભાઈ પનારાએ સમાજ શિક્ષિત, ઔદ્યોગિક, રાજકીય સ્તરે આગળ હોવા છતાં ડર વધુ હોય અને ડરને આબરૂનું નામ આપી યુવાનો વ્યાજખોરો સહિતના કોઈને કોઈ દૂષણોમાં ફસાતા હોવાથી યુવાનોને તમામ દૂષણોથી બચાવવા છેક સુધી લડી લેવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે 100 લુખ્ખા 5 લાખ પાટીદારોને દબાવે તો ડૂબી મરવા જેવી બાબત ગણાવી હતી અને આવા ડર દૂર કરવા આગેવાનોએ દીકરા-દીકરીઓને પોલીસ સ્ટેશન, જેલ, કોર્ટની મુલાકાત લેવાનું જણાવ્યું હતું. સમાજના યુવાનો વધુને વધુ વ્યાજના વિષચક્રમાં ફસાતા હોય, વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી આપઘાતના પગલાં ભરી લેતા હોવાથી આવી વ્યાજખોરી સામે પગલાં લેવા પર ભાર મુકાયો હતો. જ્યારે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે આર્થિક રીતે સધ્ધરતા એ સમાજને માપવાનો માપદંડ નથી. આર્થિક સધ્ધરતા આપણી મહેનતના કારણે આવી છે. આપણાં વડવાઓએ અનેક મુશ્કેલી વેઠી અને મહેનત કરીને સમાજને આટલો સધ્ધર કર્યો છે. શહેરમાં 80 ટકા આપણી વસ્તી હોવા છતાં અહીં ગુંડાગીરી છે, લૂખ્ખાગીરી છે, આપણે સમાજ વિરોધી નથી. સત્તા વિરોધી નથી. પણ આપણી પેઢી ટકાવવાની છે. પહેલા ખેતી, ધંધા ઉદ્યોગ,રાજનીતિ, શિક્ષણમાં સફળ થયા એમ હવે સમાજના યુવાનોને બુરાઈથી દૂર રાખવાના પ્રયાસ કરવાના છે. ચાની ટપરી કે ચોકમાં જ્યાં ઓનલાઈન જુગાર અને સટ્ટાની પ્રવૃત્તિઓ થાય છે, આગેવાનોએ યુવાનોને બુરાઇથી દુર રહેવા અપીલ કરી. તસવીર : રવિ બરાસરા

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:58 am

વિવેક ઓબરોયે મોતને આપી માત:કારમાં સળિયો ઘૂસી ગયો, મૃત્યુમારાથી એક ઈંચ દૂર હતું: વિવેક

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે તેની ફિલ્મ ‘રોડ’ના શૂટિંગ દરમિયાન થયેલા એક ભયાનક અકસ્માતનો ખુલાસો કર્યો છે, જેમાં તેઓ માંડ-માંડ બચ્યા હતા. તાજેતરના એક પ્રમોશનલ ઇન્ટરવ્યૂમાં વિવેકે જણાવ્યું કે, રાજસ્થાનમાં રાત્રે બિકાનેરથી જેસલમેર જતી વખતે તેમની કારને અચાનક ઊંટગાડી સાથે ટક્કર થઈ હતી. આ ઊંટગાડી પર સળિયા (લોખંડના સળિયા) લાદેલા હતા, જે ટક્કર થતા જ કારની વિન્ડશિલ્ડ (કાચ) તોડીને અંદર ઘૂસી ગયા હતા. વિવેક આગળની સીટ પર બેઠો હતો, પરંતુ અકસ્માત પહેલા જ તેણે પોતાની સીટ પાછળની તરફ ઢાળેલી હતી. તેણે કહ્યું કે, જો તેમની સીટ સીધી હોત તો તે સળિયા તેમના શરીરમાં ઘૂસી ગયા હોત અને તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. તે ક્ષણ મારા જીવનની સૌથી ભયાનક ક્ષણોમાંની એક હતી. ફક્ત એક ઇંચ વધુ અને તે સળિયો મારી છાતીમાં વીંધાઈ ગયો હોત. હું કદાચ આજે જીવતો ન હોત. અકસ્માત પછી, આખી ટીમ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:55 am