સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા વર્ષમાં કાયમી રજીસ્ટ્રાર મળી જશે. 10 વર્ષ સુધી ખાલી રહેલી જગ્યા પર વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં કાયમી કુલસચિવ આવ્યા પરંતુ તેમણે માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં રાજીનામુ આપી દેતા ફરી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ગબડી ગયું હતું. જોકે હવે આગામી તા.3 જાન્યુઆરી,2026ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલસચિવ બનવા માટેના ઇન્ટરવ્યૂ ગોઠવાયા છે. આ માટે કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પરંતુ તેમાંથી માત્ર 3 જ ઉમેદવારોની અરજી માન્ય રહેતા તેઓ ઇન્ટરવ્યુ આપી શકશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ધામેચા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર જાદવ અને આંબેડકર યુનિવર્સિટીના કાયમી કુલસચિવ જાડેજાનો સમાવેશ થાય છે.2 વર્ષથી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ઇન્ચાર્જના ભરોસે ગબડાવાઇ રહ્યુ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં 10 વર્ષ બાદ કાયમી કુલસચિવ ડૉ. હરીશ રૂપારેલિઆ મળ્યા હતા. જોકે મહાનગરપાલિકાના સેક્રેટરી તરીકેના તેમના અનુભવી સળંગ ગણવામાં આવતી ન હોવાથી તેમને આર્થિક નુકસાન થતું હતું જેના કારણે માત્ર ચાર મહિનામાં જ તેમને કાયમી કુલસચિવ તરીકે રાજીનામુ આપી દીધું અને ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કાયમી રજીસ્ટ્રાર વિહોણી બની ગઈ હતી. જે બાદ છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ઇન્ચાર્જના ભરોસે ગબડાવાઇ રહ્યુ છે. જોકે હવે 3 જાન્યુઆરી, 2026ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રાર બનવા માટેના ઈન્ટરવ્યુ ગોઠવાશે. જેથી નવા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલસચિવ મળશે તે નક્કી છે. વર્ષ 2003માં યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર મનીષ ધામેચા આ રેસમાં સામેલ છે. જેમની વર્ષ 2003માં યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જે બાદ વર્ષ 2007માં પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. જેમના સમયગાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને RUSHA અને PM USHA સહિતની રૂ.500 કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે. આંબેડકર યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. જ્યારે આ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બનવા માટેના પ્રબળ દાવેદાર અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાયમી કુલસચિવ અજયસિંહ જાડેજા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. જેઓ અગાઉ રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં ફિઝિક્સના લેક્ચરર હતા. જે બાદ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. જે બાદ હાલ તેઓ આંબેડકર યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. રેસમાં પાછળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ સિવાયના અન્ય ઉમેદવાર દશરથ જાદવ છે. જેઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. જેમની વર્ષ 2017-18 માં રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જોકે તેમની સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો થતા સરકાર દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી હતી. જે પછી તેમની પાસેથી રજીસ્ટ્રાર તરીકેનું પદ છીનવાઈ ગયુ અને બાદમાં તેમને ફરી ડેપ્યુટી રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા હતા. જેથી તેઓ આ રેસમાં પાછળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાથી અત્યાર સુધીના કાયમી રજીસ્ટ્રાર (1) જે.એમ.મેહતા 06.09.1966થી 12.11.1968 (2) સ્વ.વી. એમ. દેસાઇ 23.11.1968થી 31.08.1986 (3) બી.એફ.શાહ 01.09.1986થી 31.12.1986 (4) આર.એ.દેસાઇ 01.01.1987થી 30.11.1989 (5) જે. એમ. ઉદાણી 01.12.1989થી 30.06.1994 (6) આર.ડી.આરદેશણા 29.04.1995થી 31.03.1996 (7) એસ.બી.પંડ્યા 27.07.1996થી 28.02.1997 (8) સ્વ.એલ.જે.પંડ્યા 05.03.1997થી 22.03.1998 (9) વી.એચ.જોશી 14.12.2000થી 31.10.2002 (10) એ.પી.રાણા 24.06.2004થી 27.07.2005 (11) જી.એમ.જાની 03.05.2007થી 21.06.2011 (12) હરીશ રૂપારેલિઆ જુલાઈ 2023થી નવેમ્બર 2023
સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. નાયબ મામલતદારના નિવાસસ્થાને તપાસ હાથ ધરાઈ હતીગતરોજ (24 ડિસેમ્બર, 2025)ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદા૨ ચંદ્રસિંહ મોરીને ત્યાં વહેલી સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ ( ED)ના દરોડા પડ્યા હતા. અધિકારીના ઘરે વહેલી સવારથી જ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ તપાસ વઢવાણ અને સુરેન્દ્રનગર એમ બે અલગ-અલગ સ્થળોએ ચાલી હતી. આઠથી વધુ વાહનો અને પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ કાર્યવાહી શરૂ કરાઈ હતી. એક ટીમે કલેક્ટરના બંગલા પર તપાસ કરી હતી, જ્યારે બીજી ટીમ વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદારના નિવાસસ્થાને પહોંચી હતી. સતત 14 કલાક સુધી કલેકટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યુંસતત 14 કલાક સુધી કલેકટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સવારથી ચાલેલા મેગા સર્ચ ઓપરેશન દરમિયાન EDના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ અકબંધ રાખવામાં આવ્યું છે. જોકે, આ તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને અન્ય ગેરરીતિઓના ખુલાસા થવાની શક્યતા છે. સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યુંદસાડા તાલુકાના નાવિયાણી ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ બાબતે ઈડીના દરોડા પડ્યા હોવાની ચર્ચાં હતી. સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે, એના ત્યાં પણ ઇડીના અધિકારીઓ ગયા હતા. આ ઉપરાંત કલેક્ટરના પીએની પણ આમાં ભૂમિકા હોવાની ચર્ચાંએ જોર પકડ્યું હતું.
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા, મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં વલસાડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઘટનાઓના ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રોષે ભરાયેલા કાર્યકરોએ બાંગ્લાદેશ સરકારના પૂતળાનું દહન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક હિન્દુ આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુ યુવકોને જીવતા સળગાવવામાં આવી રહ્યા છે અને માતા-બહેનો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે માનવતા માટે શરમજનક છે. તેમણે આ ઘટનાઓને 'હિન્દુ નરસંહાર' સમાન ગણાવી હતી. પ્રદર્શનકારીઓએ ભારત સરકારને અપીલ કરી હતી કે બાંગ્લાદેશ સાથેના તમામ રાજદ્વારી અને મૈત્રી કરારો તોડી નાખવામાં આવે. તેમણે બાંગ્લાદેશને 'કૃતઘ્ન પાડોશી' ગણાવ્યો હતો. વિરોધમાં સામેલ યુવાનો અને આગેવાનોએ બાંગ્લાદેશી ખેલાડીઓ જે IPL જેવી ટુર્નામેન્ટમાં રમે છે, તેમનો પણ બહિષ્કાર કરવાની અને આવી મેચો ન જોવાની અપીલ કરી હતી. પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે હવે હિન્દુ સમાજે જાગૃત થવાની જરૂર છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં હિન્દુઓ પર આવા હુમલા ચાલુ રહેશે, તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. વલસાડના હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ શાંતિમાં માને છે, પરંતુ જો ધર્મ અને સમુદાય પર સંકટ આવશે તો તેઓ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો સહારો લેતા અચકાશે નહીં. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વલસાડના નગરજનો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા.
ગઢડા તાલુકાના ઢસા નજીક ગઢડા-અમદાવાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત ઢસાથી અમદાવાદ તરફ જતા ગઢડા રોડ પર થયો હતો. સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે થયેલી આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ઢસા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે બંને મૃતકોની ઓળખ કરવા અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
'સાત સમુંદર ગીત' વાપરવા કરણ જોહરને છૂટ, રાજીવ રાયને રાહત ન મળી
આગામી ફિલ્મ 'તુ મેરી મૈે તેરા'માં ઉપયોગ સામે અરજી જે તે સમયે ગીતના મર્યાદિત હક્કો જ અપાયાનું સાબિત થતું નથીઃ અગાઉ પણ ફિલ્મો, જાહેરાતોમાં ઉપયોગ વખતે વાંધો લેવાયો ન હતો મુંબઈ - આગામી ફિલ્મ 'તુ મેરી મૈં તેરા'માં ૧૯૯૨ની ફિલ્મ 'વિશ્વાત્મા'નું હિટસોન્ગ 'સાત સમુંદર પાર' વાપરવા બદલ રાજીવ રાયની ત્રિમુર્તિ ફિલ્મ્સ પ્રા. લિ.એ કોપી રાઈટના ભંગનો આરોપ કરીને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ સામે ંકરેલા કેસમાં હાઈ કોર્ટે રાજીવ રાયને રાહત આપવાનો ઈનકાર કર્યો છે.
આયોજન:ગણિતની ભવિષ્યની દુનિયાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર
રાષ્ટ્રીય ગણિત દિવસના અવસરે લોઢા મેથમેટિકલ સાયન્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (એલએમએસઆઈ) દ્વારા વડાલામાં પોતાના સંકુલમાં દુનિયાભરમાંથી આવેલી 80થી વધુ ગણિત શોધકર્તાઓની યજમાની કરાઈ હતી. ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગણિતજ્ઞોએ ગણિત ભવિષ્યની દુનિયાને આકાર આપવામાં કઈ રીતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેની પર ઊંડાણથી ચર્ચાવિચારણા કરી હતી.ઓઘસ્ટ 2025માં શરૂ થયેલી આ સંસ્થાનો ઉદ્દેશ દુનિયાભરના ગણિતજ્ઞોને એક સહયોગાત્મક અને યોગ્યતા આધારિત શોધ વાતાવરણ પ્રદાન કરવાનો છે. આ અવસરે સંસ્થાના ડાયરેક્ટર ડો. વી કુમાર મૂર્તિએ જણાવ્યું કે ગણિત અને કૃત્રિમ બુદ્ધિમતા (એઆઈ) ભારતને વર્ષ 2047 સુધી વૈશ્વિક આગેવાની તરફ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે જણાવ્યું કે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ગણિતજ્ઞોને પ્રોત્સાહિત કરવા સાથે આંતરરાષ્ટ્રીય શોધકર્તાઓને ભારત આવીને સહયોગ કરવાની તક પ્રદાન કરવાનો પણ છે.પ્રસિદ્ધ ગણિતજ્ઞ અને ફિલ્ડ્સ ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડો. મૂર્તિએ જણાવ્યું કે છેલ્લા ચાર મહિનામાં સંસ્થાએ અંકગણિતીય સાંખ્યિકી (એરિધમેટિક સ્ટાટિસ્ટિક્સ) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર કાર્ય કરી રહેલા ગણિતજ્ઞો સાથે સહયોગ સ્થાપિત કર્યો છે. ભારતમાં બહુ ઓછા લોકો અંકગણિતીય સાંખ્યિકી પર કામ કરી રહ્યા છે, જ્યારે દુનિયાભરના 80 શોધકર્તાઓ એક છત હેઠળ ભેગા થાય ત્યારે અમને એ સમજવાની તક મળે છે કે વૈશ્વિક સ્તર પર આ ક્ષેત્રમાં શું પ્રગતિ થઈ રહી છે. અમારો ઉદ્દેશ ફક્ત સારું ગણિત કરવાનો નથી, પરંતુ એ સમજવાનો પણ છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે. સંસ્થાના કાર્યક્રમ પ્રમુખ અને ફિલ્ડ્સ મેડલથી સન્માનિત ડો. મંજુલ ભાર્ગવે જણાવ્યું કે સંસ્થા પોતાની સ્થાપના પછી સ્થાપિત અને ઊભરતા શોધકર્તાઓને પ્રોત્સાહિત કરીને ગણિતીય સંશોધનને આગળ વધારી રહી છે. તેમણે ગણિતને જમીની સ્તર સુધી લઈ જવાની આવશ્યકતા પર ભાર આપ્યો હતો. ડો. ભાગર્વે જણાવ્યું કે અમે ભારતમાં મેથ્સ, સર્કલ્સનું એક રાષ્ટ્રીય નેટવર્ક શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ, જે ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત હશે. પૂર્વીય યુરોપ અને અમેરિકામાં આ મોડેલ બહુ સફળ રહ્યું છે અને ત્યાંથી અનેક ઉત્કૃષ્ટ ગણિતજ્ઞ સામે આવ્યા છે.તેમણે એમ પણ જણાવ્યું કે હમણાં સુધી ભારતમાં ગણિતને વ્યાપક સ્તર પર લોકો સુધી પહોંચાડવા માટે કોઈ સંગઠિત પ્રયાસ થયો નથી. લોઢા ફાઉન્ડેશનની પહેલ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને રુચિ જગાવવાનું કામ કરશે.
મુંઝવણમાં વધારો:યુતી-આઘાડી બાબતે અનિશ્ચિતતા, બધા પક્ષોના કાર્યકર્તાઓ દ્વિધામાં
આગામી મહાપાલિકા ચૂંટણીમાં કયા શહેરમાં, કયા પક્ષ સાથે યુતી કરવી એ બાબતે ફેરવિચાર કરવાનું ધોરણ ભાજપે સ્વીકાર્યું છે. તેથી અન્ય તમામ રાજકીય પક્ષોની સ્થિતિ પણ કફોડી થઈ છે. રાજ્યની નગર પરિષદો અને મહાપાલિકાની ચૂંટણી જાહેર થયાથી ભાજપે યુતી બાબતે સાવચેતીભર્યું વલણ લીધું છે. આ ચૂંટણી માટે ભાજપ અને શિવસેના યુતી થશે એમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે છતાં કેટલાક ઠેકાણે મૈત્રીપૂર્ણ લડત થશે એમ પણ બોલ્યા હતા. નગર પરિષદ અને નગર પંચાયતના પરિણામ પછી ભાજપની રાજકીય સ્થિતિ ઘણી મજબૂત હોવાનું ચિત્ર નિર્માણ થયું છે. તેથી હવે મહાપાલિકાની ચૂંટણી માટે યુતી કરતા ભાજપ વધુ ચુસ્ત ભુમિકા લેશે એ સ્પષ્ટ થયું છે. મુંબઈ, થાણે, પુણે જેવી મહત્વની મહાપાલિકામાં ભાજપ યુતી બાબતે વાટાઘાટ કરતો હોવાનું ચિત્ર છે છતાં શક્યતઃ આ મહાપાલિકાઓમાં સ્વબળ અજમાવવા ભાજપ પ્રયત્નશીલ છે. પુણે શહેરમાં ભાજપ અને શિવસેના વચ્ચે યુતીની ચર્ચા ચાલુ છે. શિવસેનાના શહેરના નેતા રવિન્દ્ર ધંગેકરે અજિત પવારના રાષ્ટ્રવાદી સાથે આઘાડી કરવી એવો આગ્રહ રાખ્યો છે. ભાજપ તરફથી શિવસેનાને પૂરતી સીટ મળવાની ન હોવાથી તેઓ આ ભૂમિકા લઈ રહ્યા છે.
કાર્યવાહી:CGSTનો સુપરિન્ટેન્ડેન્ટ 5 લાખની લાંચ લેતાં ઝડપાયો
ખાનગી કંપનીના ડાયરેક્ટર પાસે લાખ્ખોની લાંચની માગણી કરનારો સીજીએસટી ઓડિટ-। મુંબઈનો સુપરિન્ટેન્ડેન્ટ સીબીઆઈના છટકામાં સપડાઈ ગયો છે. આરોપી અંકિત અગરવાલ સીજીએસટી ઓડિટ-। એર ઈન્ડિયા બિલ્ડિંગ, નરીમાન પોઈન્ટ ઓફિસમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કાર્યરત હતો.ખાનગી કંપનીના ડાયરેક્ટરે 22 ડિસેમ્બરે લેખિત ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ 26 નવેમ્બરે કંપનીનું ઓડિટ હાથ ધર્યું હતું. આ પછી 98 લાખ રૂપિયાનો કર ચૂકવવો પડશે એમ જણાવીને મામલામાં ભીનું સંકેલવું હોય તો રૂ. 20 લાખની લાંચ આપો એવી માગણી કરી હતી, એમ ફરિયાદમાં જણાવાયું હતું.લાંચની રકમ ઓછી કરાવવા વાટાઘાટ પછી આરોપીએ ફરિયાદીની કંપનીનો કર ઓછો કરવા સામે રૂ. 17 લાખની લાંચ સ્વીકારવા માટે સંમતિ આપી હતી. આ પછી 22 ડિસેમ્બરે આ રકમમાંથી રૂ. 5 લાખ પ્રથમ હપ્તો તરીકે આપવાનું નક્કી થયું હતું. જોકે ફરિયાદીને લાંચ આપવાની નહીં હોવાથી સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઈ દ્વારા ફરિયાદની વિશ્વસનીયતા તપાસ્યા પછી સોમવારે આરોપીને રૂ. 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. આ પછી આરોપીના મુંબઈના ઘરની તલાશી લેવામાં આવી હતી, જેમાં રૂ. 18.30 લાખની બિનહિસાબી રોકડ મળી આવી હતી. તેની પાસે એપ્રિલ 2025 તારીખના રોજ રૂ. 40.315 લાખની મિલકત અને જૂન 2024ના રોજ રૂ. 32.10 લાખની અન્ય મિલકત હોવાનું જણાયું હતું. આ સાથે આરોપીની ઓફિસમાં પણ તલાશી લેવાઈ હતી, જેમાં ખાનગી કંપની માટે તેના દ્વારા તૈયાર કરાયેલા ઓડિટ રિપોર્ટ સંબંધમાં ડિજિટલ પુરાવા જપ્ત કરાયા હતા.
ચોરી:મુંબઈ આવતી બસમાં 1.20 કરોડના સોના- ચાંદીની લૂંટ
કોલ્હાપુરથી મુંબઈ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ બસમાં સોમવારે મધરાત્રે સશસ્ત્ર લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારાઓએ બસની ડિકીમાં રાખેલા રૂ. 1.20 કરોડના સોનું અને 60 કિલો ચાંદીની લૂંટ ચલાવી હતી. કિણી ટોલનાકાથી થોડા જ અંતરે આ ઘટના બની હતી. કોલ્હાપુરમાં વેપારીઓના સોના- ચાંદીના દાગીના આંગડિયાઓ દ્વારા મુંબઈમાં લઈ જવામાં આવે છે. સોમવારે રાત્રે 12 વાગ્યાના સુમારે કોલ્હાપુરથી મુંબઈ માટે અશોકા ટ્રાવેલ્સની બસ રવાના થઈ હતી. આ બસમાં લૂંટારાના ત્રણ સાગરીતો પહેલેથી જ પ્રવાસી બનીને બેઠેલા હતા. બસ કોલ્હાપુરથી નીકળીને કિણી ટોલનાકા વિસ્તારમાં પહોંચતાં જ બસમાં બેઠેલા એક લૂંટારાએ ડ્રાઈવરના ગળા પર ચાકુ મૂકીને બસ રોકવાની ફરજ પાડી.ડ્રાઈવરે બસ રોકતાં જ લૂંટારાઓની પાછળથી આવતી કાર આવીને ઊભી રહી હતી. કારમાંથી અન્ય સાગરીતો ઊતર્યા અને ડિકીનો કબજો લીધો. ડિકીમાંથી 60 કિલો ચાંદી, એક ચોલા સોનું અને રોકડ રકમ મળીને રૂ. 1.20 કરોડની મતાની લૂંટ ચલાવી હતી. જૂજ મિનિટોમાં માલ કારમાં નાખ્યો અને અંધારાનો લાભ લઈને લૂંટારા ભાગી ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.આ ઘટના પછી ડ્રાઈવરે તુરંત ટ્રાવેલ્સના માલિકને અને પેઠવડગાવ પોલીસને જાણ કરી હતી. પીએસઆઈ ભરત પાટીલ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એકંદરે જોતાં લૂંટારા જાણભેદુ હોવાની શંકા છે. તેમને અગાઉથી જ ડિકીમાં કીમતી વસ્તુઓ હોવાની માહિતી મળી ચૂકી હતી, જેથી યોજનાબદ્ધ રીતે લૂંટ ચલાવી હતી. અમે સીસીટીવી કેમેરાને આધારે વધુ તપાસ કરી રહ્યા છીએ, એમ પાટીલે જણાવ્યું હતું.
કરૂણાંતિકા:વાશી સ્ટેશને એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નહીં મળતાં ગુજરાતી યુવાનનું મોત
સીએસએમટી- પનવેલ ટ્રેનમાં 2 ડિસેમ્બરે બપોરે ચેમ્બુરથી પનવેલ જવા નીકળેલો 25 વર્ષીય હર્ષ પટેલ અચાનક બેભાન થઈ ગયો હતો. ટ્રેન વાશી સ્ટેશને પહોંચતાં સાથી પ્રવાસીએ રેલવે પોલીસને જાણ કરી, જે પછી હર્ષને એમ્બ્યુલન્સ (108)માં ખસેડાયો, પરંતુ ડ્રાઈવર ભોજન કરવા માટે જતો રહેતાં રેલવે પોલીસ જીપમાં તેને એનએમએમસી હોસ્પિટલ, વાશીમાં લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું હતું. સ્ટેશન પર એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર 24 x 7 ઉપલબ્ધ હોવો જોઈએ. આમ છતાં ડ્રાઈવર જમવા માટે નીકળી ગયો હતો. 18 ડિસેમ્બરે હર્ષની બહેને સોશિયલ મિડિયા પર વાશી સ્ટેશને સમયસર તબીબી સહાય નહીં મળતાં ભાઈએ જીવ ગુમાવ્યો તે વિશે વિડિયો શૅર કર્યો હતો. તેણે દાવો કર્યો કે સ્ટેશન પર સ્ટ્રેચર, વ્હીલચેર કે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નહોતી કે સીપીઆર અથવા ઈમરજન્સી પ્રતિસાદમાં તાલીમબદ્ધ કોઈ કર્મચારી પણ નહોતો. વળી, એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર પણ ઉપલબ્ધ નહીં હોવાથી ગોલ્ડન અવર્સ નીકળી ગયા હતા. પરિવારે સીએસએમટી ખાતે ડીઆરએમ કાર્યાલયમાં ફરિયાદગ નોંધાવી છે. હર્ષની બહેને વિડિયોમાં જણાવે છે, સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે હર્ષ હંમેશ મુજબ તે દિવસે ટ્રેનમાં ચઢ્યો. સ્વસ્થ દેખાતો હતો, પરંતુ અચાનક બેભાન થઈ ગયો. અમને જાણ કરાતાં તુરંત સ્ટેશને પહોંચ્યાં. પ્રવાસીઓ હર્ષને કપડાના બનાવેલા હંગામી સ્ટ્રેચર પર સબવે થકી લઈ ગયા.સ્ટેશન બહાર 108 એમ્બ્યુલન્સ હતી, પરંતચુ ડ્રાઈવર નહોતો. ડ્રાઈવરની વાટ જોઈ પરંતુ તે નહીં આવતાં આખરે મેં પોલીસ જીપમાં લઈ જવા આગ્રહ કર્યો. જોકે હોસ્પિટલમાં પહોંચ્યાં ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. સ્ટેશન પર કટોકટી માટે સુસજ્જતાનો અભાવ હોવાનું ખુદ રેલ અધિકારીઓએ જણાવ્યું હોવાનું પણ અનામિકાએ જણાવ્યું હતું. કપડાના બનાવેલા હંગામી સ્ટ્રેચર પર સબવે થકી લઈ ગયા.સ્ટેશન બહાર 108 એમ્બ્યુલન્સ હતી, પરંતચુ ડ્રાઈવર નહોતો. ડ્રાઈવરની વાટ જોઈ પરંતુ તે નહીં આવતાં આખરે મેં પોલીસ જીપમાં લઈ જવા આગ્રહ કર્યો. જોકે હોસ્પિટલમાં પહોંચ્યાં ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. સ્ટેશન પર કટોકટી માટે સુસજ્જતાનો અભાવ હોવાનું ખુદ રેલ અધિકારીઓએ જણાવ્યું હોવાનું પણ અનામિકાએ જણાવ્યું હતું.
પ્રવાસીઓને રાહત:મધ્ય અને પશ્ચિમ રેલવેમાં ટૂંક સમયમાં 1-1 નવી AC લોકલ
લાંબી પ્રતિક્ષા બાદ મધ્ય અને પશ્ચિમ રેલવેમાં ટૂંક સમયમાં એક એક નવી એસી લોકલ દાખલ થશે. બંને લાઈનમાં આકર્ષક અને અદ્યતન રચનાવાળી દરેકમાં એક નવી એસી લોકલ દોડતી થશે. નવી એસી લોકલમાં બેસવાની વધુ ક્ષમતા અને પ્રવાસીઓને ઊભા રહેવા વધારે જગ્યા હશે. તેથી પીક અવર્સની ગિરદીમાં પ્રવાસીઓને ઘણી રાહત મળશે. નવી એસી લોકલ ટ્રેન ચેન્નઈ ખાતેની ઈંટિગ્રલ કોચ ફેક્ટરીમાંથી મુંબઈ લાવવામાં આવશે. અત્યારે ઉપનગરીય રેલવે માર્ગ પર એસી લોકલ ટ્રેન પૂર્ણ ક્ષમતાથી પ્રવાસી સેવામાં દોડે છે. કોઈ પણ વધારાની ટ્રેન ઉપલબ્ધ ન હોવાથી કોઈ ટ્રેનમાં ખરાબી થાય તો સંપૂર્ણ ટાઈમટેબલ પર એની અસર થાય છે. એ ધ્યાનમાં લેતા નવી એસી લોકલની અનેક મહિનાથી રાહ જોવાઈ રહી છે. વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર પશ્ચિમ રેલવે માટે ચેન્નઈથી નવી અંડરસ્લંગ મેઘા એસી લોકલ આવશે. આ ટ્રેન અત્યારે વિલ્લિવાક્કમ યાર્ડમાં ઊભી છે. અંડરસ્લંગ ટ્રેનમાં એસી સિસ્ટમ જેવા મુખ્ય ઉપકરણ કોચની અંદર રાખવાના બદલે કોચના માળા નીચે મૂકવામાં આવે છે. તેથી પ્રવાસીઓને ઊભા રહેવા વધુ જગ્યા મળે છે અને બેસવાની વધુ સીટ ઉપલબ્ધ થાય છે. નવી રચનાની એસી લોકલમાં પ્રવાસીઓની સીટીંગ ક્ષમતા 1028થી વધીને 1116 સુધી વધશે.
નવતર અભિગમ:જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં મુકાશે કસ્ટબીન
આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણનું મહત્વ ઘણું વધ્યું છે. માતા-પિતા અને શાળાઓ વિદ્યાર્થી પાસેથી ઉત્તમ પરિણામોની અપેક્ષા રાખે છે. આ અપેક્ષાઓ સાથે ભણતરના ભારમાં પણ ભારે વધારો થયો છે, જે વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જેમાં કેટલાક કિસ્સામાં માનસિક તાણથી વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. વિદ્યાર્થીઓ પોતાની આરોગ્યને લગતી સમસ્યાઓ રજૂ કરી શકે તેવા આશયથી ભાવનગર જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં કસ્ટબીન મુકવાની અનોખી પહેલ આરોગ્યક્ષેત્રે રાજ્યકક્ષાએ સૌ પ્રથમવાર ભાવનગરમાં થશે. ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ઉપક્રમે કસ્ટબીન મુકવાની યોજનાનો અમલ સ્થાનિક શિક્ષણ વિભાગ સાથેના સંકલનથી કરવામાં આવશે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લાની પ્રાથમિક થી લઈ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લેવામાં આવશે. જે યોજના અંતર્ગત સરકારી અને ખાનગી મળી ભાવનગર જિલ્લાની 1150 પ્રાથમિક શાળાઓ તથા 450 જેટલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાને સમાવી લેવામાં આવશે. ભાવનગર જિલ્લામાં કસ્ટબીન યોજનાનો સંપૂર્ણ અમલ આગામી માર્ચ-2026 મહિનાના અંત સુધીમાં થઇ જતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શકનો લાભ મળશે તેમ સૂત્રો માહિતી આપતા જણાવ્યું છે. 31મી માર્ચ-2026 સુધીમાં તમામ શાળાઓને આવરી લેવાશેશિક્ષણ વિભાગ સાથેના સંકલનથી ભાવનગર શહેર અને જિલ્લાની પ્રાથમિક થી લઈ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કસ્ટબીનની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને પોતાની સમસ્યા રજૂ કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને તેમની વાતનું નિરાકરણ લાવી શકાય. અનોખા પ્રયાસ સમાન આરોગ્યલક્ષી યોજનામાં આગામી 31મી માર્ચ-2026 સુધીમાં ભાવનગર જિલ્લાની તમામ શાળાઓને આવરી લેવામાં આવશે. ડો.ચંદ્રમણીકુમાર પ્રસાદ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર જિલ્લામાં કસ્ટબીન પ્રોજેક્ટ કેવી રીતે કામ કરશે ?બહુધા સરકારી કચેરીઓ, જાહેર સામાજીક સંસ્થાઓ અને કેટલીક શાળાઓમાં જોવા મળતા સૂચન બોક્સમાં જે તે કચેરી, સંસ્થા કે શાળાને લગતી સાર્વજનિક સમસ્યાની ફરિયાદ કરી શકાય છે અથવા સૂચન કરી શક્ય છે. આરોગ્યક્ષેત્રે અનોખા કહી શકાય તેવા કસ્ટબીન પ્રોજેક્ટમાં જે તે શાળાઓના વિદ્યાર્થીઓ કસ્ટબીન મારફતે આરોગ્યલક્ષી બાબતો સહિતની મનની લાગણીઓ વ્યક્ત કરી શકશે. કસ્ટબીન મારફતે મળેલ જે તે વિદ્યાર્થીના પ્રશ્નોનું આરોગ્ય વિભાગના તંત્રવાહકો દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવશે.
એનાલિસિસ:મિલકત વેરામાં 153 કરોડ વ્યાજનો બોજ : વસુલાતની વ્યાધિ
ભાવનગર કોર્પોરેશન ઘરવેરા થકી આવક વધારવા પ્રયાસો કરે છે પરંતુ 433 કરોડના બાકી વેરામાં 152.74 કરોડ તો વ્યાજના જ છે. જૂની કર પદ્ધતિમાં મિલકતવેરામાં વ્યાજ માફીની યોજના છે પરંતુ કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં વર્ષ 2013 થી આજ સુધીમાં કોઈ દિવસ વ્યાજ માફી યોજના લાવવામાં નથી આવી. ભાવનગર કોર્પોરેશન દ્વારા મિલકત વેરામાં સમયાંતરે જુદી જુદી યોજનાઓ દ્વારા આવક વધારવા પ્રયત્નશીલ હોય છે. પરંતુ ભૂતકાળમાં ઘરવેરામાં કરેલા ગોટાળા અને બેદરકારીઓનું નુકસાન હજુ પણ પૂરું થયું નથી. જૂનીકર પદ્ધતિમાં 1997 થી 2013 સુધીમાં 204 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. અને તે પૈકી 138 કરોડ તો વ્યાજના છે. જૂની કર પદ્ધતિના અનેક ખાતા ટ્રેસ થતા નથી. જેથી જ છેલ્લા ઘણા સમયથી જૂની કર પદ્ધતિમાં વર્ષ 2009 થી 2013 સુધીની મુદ્દલ 48 કરોડની રકમ ભરવામાં આવે તો વ્યાજ સહિતનું તમામ બાકી રકમ માફી આપવામાં આવે છે.ચાર વર્ષના બાકી 48 કરોડમાં પાણી ચાર્જના 24 કરોડનો સમાવેશ થયેલો છે. પ્રતિ વર્ષ એપ્રિલ મે મહિના દરમિયાન રિબેટ યોજનાનો લાભ મિલકતવેરામાં આપવામાં આવે છે. ગત વર્ષે 6.90 કરોડ તો ચાલુ વર્ષે 7.37 કરોડ રિબેટનો લાભ કરદાતાઓને આપવામાં આવ્યો હતો. પરંતુ કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં પણ વ્યાજની રકમને કારણે બાકી વેરાના આંકડા વધુ મોટા દેખાય છે. કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં આજની તારીખે 433 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. જોકે તેમાં 115 કરોડ તો સરકારી મિલકતના છે. અને રૂપિયા 152.74 કરોડ વ્યાજની રકમના જ છે.એટલે કે સરકારી મિલકતોનો બાકી વેરો અને વ્યાજની રકમ જો બાદ કરવામાં આવે તો મુદ્દલ 165.26 કરોડ જ મિલકત વેરાના વસૂલવાના બાકી રહે. જોકે કોર્પોરેશનની આવક માટે સરકારી મિલકતોનો બાકી વેરો અને વ્યાજની રકમ બંને જરૂરી છે. ઈનસાઈડ: નિયમિત વેરો ભરપાઈ કરનારનો શુ વાંક?મિલકત વેરામાં વર્ષોથી વસુલાતના વિવાદ શરૂ છે. એ પણ વાસ્તવિકતા છે કે ભાવનગર કોર્પોરેશન આવક માટે મિલકત વેરા પર નિર્ભર છે. આવકના નવા સ્ત્રોત ઉભા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. કોર્પોરેશન દ્વારા જૂની કર પદ્ધતિ હોય કે ઓટીએસ સ્કીમ, જે તમામમાં જે કરદાતાઓ નિયમિત વેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવી હોય તે તમામને જુના વેરા માંડવાળ કે વ્યાજમાફી આપી સહાનુભૂતિ દાખવતા હોય છે. પરંતુ જે લોકો નિયમિત વેરો ભરે છે. અને હાલમાં પણ ચાલુ વર્ષનું વ્યાજ સહિત વેરો ભરપાઈ કર્યો છે તેઓનો વાંક એટલો કે તેઓ વેરો ભરવામાં નિયમિત છે. બીજી તરફ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સર્વે કરી ચોક્કસપણે રાહત આપવા સાથે ડિમાન્ડમાં ઘટાડો કરવો પણ જરૂરી છે. અમદાવાદની જેમ ભાવનગરમાં પણ વ્યાજ માફીની કોંગ્રેસની માંગઅમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મિલકતવેરામાં વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવાનો નિર્ણય કર્યો છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પણ ભાવનગરમાં વ્યાજ માફીની સ્કીમ આપવા માગણી કરી છે. છેલ્લા બાર વર્ષમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના મિલકત ધારકો ઊંચા વ્યાજની રકમના કારણે બાકી વેરો ભરી શકતા નથી. હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ વ્યાજ માફી સ્કીમ જાહેર કરવામાં આવી છે અને જાન્યુઆરીથી અમલમાં આવશે. તે જ રીતે ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ વ્યાજ માફી સ્કીમ લાવવામાં આવે તો કોર્પોરેશનની ડિમાન્ડ પણ ઓછી થશે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત પણ થશે. તે બાબતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મેયરને રજૂઆત કરી છે.
વાતાવરણ:નાતાલ આવી છતાં ઠંડી જામી નથી તાપમાન સામાન્યથી 2.2 ડિગ્રી વધુ
નાતાલનું પર્વ આવે એટલે કડકડતી ઠંડી જામતી હોય છે પણ આ વર્ષે ભાવનગરમાં એક પણ વખત તીવ્ર ઠંડીનો તબક્કો આવ્યો નથી. રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભાવનગર શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ખાસ કરીને બપોરના સમયે મહત્તમ તાપમાન વધીને 30.8 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હોય બપોરે શિયાળાનો મધ્ય ભાગ હોય તેવો કોઇ અનુભવ થયો ન હતો. આજે શહેરમાં બપોરના સમયે સામાન્ય કરતા તાપમાન 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. બરફવર્ષાના સમાચાર છે હવે આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા વધે તેવી શક્યતા છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 30.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 16 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 15.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ.આજે લઘુત્તમ ઉષ્ણતામાન પણ સામાન્ય કરતા 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. આજે સવારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા હતુ તે સાંજે ઘટીને 38 ટકા થઇ ગયુ હતુ. જ્યારે સવારના સમયે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. છેલ્લાં ત્રણ દિવસમાં બપોરના સમયે તાપમાનમાં 2 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો છે. હવે હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઈ છે ત્યારે ભાવનગર તરફ ઉત્તર અને પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોથી ઠંડી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.
સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ડ્રાઇવ યથાવત:પ્લાસ્ટિક વપરાશ, ગંદકી ફેલાવતા 207 લોકોને રૂ.37,000 નો દંડ
ભાવનગર કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ પર તવાઈ બોલાવતા આજે પણ 207 લોકોને 37100 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજરોજ તા.23ના રોજ શહેરના તમામ વોર્ડમાં જુદા જુદા સ્થળોએ ચકાસણી કરતા જાહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા 28 આસામીઓ પાસેથી 32.6 કિલોગ્રામ પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂપીયા 17700 દંડ તથા જાહેરમાં ગંદકી કરવા સબબ 112 આસામીઓ પાસેથી કુલ રૂપીયા 9550 દંડ વસુલ કરેલ. શહેરની કંસારા નદીમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા કુલ 16 આસામીઓને કરીને કુલ રૂપીયા 4250 દંડ, જાહેરમાં થુકવા સબબ 14 આસામીઓને દંડીત કરીને કુલ રૂપીયા 3500નો દંડ, જાહેરમાં અને ડસ્ટબીન ન હોવા બાબતે 8 આસામીઓની પાસે કુલ રૂ.1600 દંડ અને રજકાના પૂળા વેચવા બદલ 29 આસામીઓ પાસેથી 117 પૂળા જપ્ત કરીને કુલ રૂપીયા 500નો દંડ વસુલ કરવામાં અવેલ. આમ કુલ 207 આસામીઓ પાસેથી કુલ રૂપીયા 37100ના દંડની વસુલાત કરવામાં આવેલ. સ્વચ્છતા સર્વેક્ષણમાં ક્રમશઃ ભૂતકાળ કરતાં પરિણામમાં પણ ભાવનગર કોર્પોરેશનનો સુધારો આવતા પ્લાસ્ટિક ડ્રાઇવ અને સ્વચ્છતા ઝુંબેશ દ્વારા કડકાઇ હાથ ધરી છે.
કામગીરી:મતદાર યાદીમાં 8 જાન્યુઆરી સુધી વાંધાઓ રજૂ કરી શકાશે
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 ડિસેમ્બર સુધીમાં કુલ 69,760 નાગરિકો તરફથી ફોર્મ 6 મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 11,074 નાગરિકો તરફથી ફોર્મ 7 મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. મતદાર યાદીમાં જો નામ ઉમેરવાનું હોય કે સુધારવાનું હોય તો આ તક આપવામાં આવી છે.
જાણકારીનો અભાવ:જોડે એ સરદાર નાટકમાં આયોજક કલારસિક પ્રેક્ષકોને જોડી ન શક્યા !!
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આજે ભાવનગર શહેરમાં આવેલા યશવંતરાય નાટ્યગૃહમાં સંગીત નાટક, મલ્ટી મીડિયા શો જોડે એ સરદારનો શો હતો પણ લોકોમાં પૂરતી જાણકારીના અભાવે આ વિનામૂલ્યે યોજાયેલા જોવાલાયક નાટકમાં અધડું યશવંતરાય નાટ્યગૃહ ખાલી રહી ગયું હતુ. આજે સાંજે આ 6 કલાકે શો હતો અને તે માટે પૂરતા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવી ન હોય શો ફ્લોપ બની રહ્યો હતો. બાકી કોલેજોના વિદ્યાર્થીઓમાં આ શો માટે દરેક કોલેજ ખાતે જાણકારી મોકલી હોત તો યશવંતરાય નાટ્યગૃહ ટુંકુ પડત. પરંતુ આજે આ જોવાલાયક અને માહિતીપ્રદ સંગીત નાટક ખાલી રહી ગયું હતુ. તેના માટે આયોજકોને જવાબદાર ગણી શકાય. આ નાટકનું નામ જોડે એ સરદાર હતુ પણ આયોજકો આજે ભાવનગરના કલારસીકોને આ નાટકમાં જોડી શક્યા ન હતા. જોડે એ સરદાર નાટકમાં ભારત આઝાદ થયું ત્યારે દેશને પ્રથમ રજવાડું સોંપનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો પણ ઉલ્લેખ હતો પરંતુ જ્યાં મહારાજાએ રાજ્ય કર્યુ તે પોતાની જનતાના નગર ભાવનગરમાં જ આ નાટક વિષે બહુ કોઇને જાણકારી ન હતી. બાકી રાજ્યના અન્ય શહેરોમાં આ નાટકને સારો પ્રતિસાદ મળ્યો હતો અને નાટકના શો હાઉસફુલ રહ્યા હતા.પરંતુ ભાવનગરમાં વિનામૂલ્યે હોવા છતાં આ નાટકમાં અડધું થિયેટર ખાલી રહ્યું હતુ. તેનું મુખ્ય કારણ અગાઉ લખ્યું તેમ લોકોમાં આ માણવાલાયક નાટક વિષે જાણકારીનો અભાવ હતો.
ફરિયાદ:ચાર બુટલેગરોએ પતંગ ચગાવતા યુવક ઉપર પથ્થરા ઝીંકી હુમલો કર્યો
ભાવનગર શહેરના રાણીકા કરચલિયા પરા વિસ્તારમાં સાંજના સુમારે ઘર પાસે પતંગ ચગાવવા બાબતે થઇને ચાર શખ્સોએ એક સંપ કરી યુવક ઉપર પથ્થરમારો કર્યો હતો પરંતુ જે બાદ યુવકની ઉપર દાઝે ભરાયેલા ચારેય બુટલેગરોએ સોસાયટીમાં પણ રહેણાંકીય મકાનોમાં પથ્થરમારો કરી, આતંક ફેલાવતા, અનેક લોકો ભયના માર્યા બહાર દોડી આવી, બુટલેગરોનો વિરોધ કરતા ચારેય શખ્સો ફરાર થઇ ગયા હતા. જ્યારે સામા પક્ષે પણ યુવકની તરફેણ લઇને આવેલા અન્ય ત્રણ શખ્સોએ સામસામી મારમારી, ઇજા કરતા આઠ શખ્સો વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. બે જૂથ વચ્ચે ભયંકર મારમારી સર્જાતા મસમોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ભાવનગર શહેરમાં ગંગાજળિયા પોલીસ મથક હેઠળનો વિસ્તાર એવા રાણીકામાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે. અઢાર વર્ષિય હર્ષ ઉર્ફે હસુ દિપકભાઇ વાઘેલા વનરાજ ઉર્ફે વનો ભુપતભાઇ યાદવના ઘરની નજીક પતંગ ચગાવતો હોય જેને વનરાજને ન ગમતા વનરાજ ઉર્ફે વનો તેમજ તેમના ત્રણ મળતીયાઓ ત્યાં આવી હર્ષ ઉર્ફે હસુ વાઘેલાને ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ હર્ષભાઇ ઉપર પથ્થરમારો કરતા હર્ષભાઇ ઘટના સ્થળેથી ફરાર થયા હતા. જો કે, ત્યાર બાદ પણ વનરાજ સહિત ચાર શખ્સોએ યુવકની દાઝ રાખી સોસાયટીમાં આવેલા રહેણાંકીય મકાનોમાં પથ્થરમારો શરૂ કરતા લોકોની ચીચયારીઓ ઉઠી હતી અને રહેણાંકીય મકાનમાંથી લોકો ભયના મારે બહાર દોડી આવ્યા હતા. જ્યારે સામા પક્ષે વનરાજભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાંગના કારખાના નજીક ઉભો હતો તે દરમિયાન ચાર શખ્સો ત્યાં આવી અહીંયા કેમ ઉભો છો તેમ કહી, ભુંડા બોલી ગાળો આપી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થયા હતા. જે ઘટનામાં હર્ષ ઉર્ફે હસુભાઇ વાઘેલાએ નિલેશ રાઠોડ ભુપત યાદવ, વનરાજ ઉર્ફે વનો યાદવ અને વિજય યાદવ વિરૂદ્ધ અને વનરાજભાઇએ પ્રકાશ રમણીકભાઇ ચુડાસમા, પવન પપ્પુભાઇ જાંબુચા, ગોપાલ ઉર્ફે કુકડી દિલીપભાઇ બારૈયા, હિરેન વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટના બાદ ઘટનાગ્રસ્ત વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પથ્થરમારો કરનારા ચારેય શખ્સો બુટલેગરો : રહીશોપતંગ ચગાવનાર યુવક ઉપર હુમલો કરી, પથ્થરમારો કર્યો હતો. જે બાદ વનરાજ યાદવ, નિલેશ રાઠોડ, ભુપત યાદવ અને વિજય યાદવે રહીશોના રહેણાંકીય મકાનો ઉપર પથ્થરમારો કરી, આતંક ફેલાવ્યો હતો. જે બાદ આસપાસના રહીશો મોટી સંખ્યામાં બહાર દોડી આવતા ચારેય શખ્સો ફરાર થયા હતા. જે મામલે ચારેય શખ્સો આ વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂનો જાહેરમાં વેપલો કરતા હોવાનું રહીશોએ જણાવ્યું હતું.
સિટી સ્પોર્ટ્સ:અંડર-14 : અમરેલીને પરાજય આપી ભાવનગર સેમિ ફાઇનલમાં
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત અંડર-14 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની ક્વાટર ફાઇનલમાં પ્રવાસી અમરેલી ડિસ્ટ્રીક્ટની ટીમને પ્રથમ દાવની સરસાઇના આધારે પરાસ્ત કરી અને ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમે સેમ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તા.26 અને 27ના રોજ રાજકોટ રેલવેના મેદાન ખાતે ભાવનગર ડિસ્ટ્રીક્ટ અને રાજકોટ રૂરલ વચ્ચે સેમિ ફાઇનલ મેચ રમાશે. અત્રેના સર ભાવસિંહજી ક્રિકેટ કલબના મેદાન ખાતે ભાવનગર ડિસ્ટ્રીક્ટની ટીમે પ્રથમ દાવમાં 258 રન નોંધાવ્યા હતા. અને પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે અમરેલીની ટીમે 1 વિકેટે 3 રન નોંધાવ્યા હતા અને મંગળવારે આગળ રમવાનું શરૂ કરતા અમરેલીની ટીમ 76 ઓવર્સમાં 135 રને ઓલઆઉટ થઇ ગયા હતા. જેમાં જયવીર જાવદના 53 રન, જયદત્ત ઝાલાના 50 રન મુખ્ય હતા. ભાવનગર વતી આરવ મહેતાએ 6 વિકેટ, પ્રીતરાજ ચૌહાણે 2 વિકેટ ખેડવી હતી, અગાઉ પ્રીતરાજે 51 રન પણ ફટકાર્યા હતા. આમ પ્રથમ દાવની સરસાઇના આધારે ભાવનગરનો વિજય થયો હતો.
અકસ્માત:સિદસર રોડ ખાતે ટ્રકે પરિવારને અડફેટે લેતા 7 વર્ષીય બાળાનું મોત
ભાવનગર શહેરમાં રહેતો એક પરિવાર બાઇકમાં બેસી સરતાનપર ગામેથી ઘર તરફ પરત ફરતા હતા. જે દરમિયાન સિદસર રોડ ઉપર પુરપાટ ઝડપે ટ્રક ચલાવી, ટ્રકના ચાલકે પાછળથી બાઇક સાથે ગમખ્વાર અકસ્માત કરતા પતિ, પત્નિ અને પુત્રીને ફંગોળતા ત્રણેય લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં માતા-પિતાની નજર સામે જ સાત વર્ષિય પુત્રીનું કરૂણ અકસ્માત થતાં પરિવારમા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભાવનગર શહેરના ગણેશગઢ ચિત્રા વિસ્તારમાં રહેતા રવિભાઇ રાજુભાઇ ડાભીના મોટા ભાઇ પ્રદિપભાઇ ડાભી તેમના પત્નિ દક્ષાબેન ડાભી અને તેમની સાત વર્ષિય દિકરી ક્રિષ્નાબેન પ્રદીપભાઇ ડાભી ત્રણેય લોકો તેમનું હોન્ડા સાઇન મોટર સાયકલ નં. GJ 04 FC 1748 લઇને ઘરેથી સરતાનપર (કોબડી) ગામે ગયા હતા. જ્યાંથી બાઇક પર બેસીને ત્રણેય લોકો ભાવનગર શહેર તરફ આવવા રવાના થયા હતા. જે દરમિયાન સિદસર રોડ ઉપર પહોંચતા જે વેળાએ પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રક નં. GJ 18 AZ 2217 ના ચાલકે પુરપાટ ઝડપે ટ્રક ચલાવી, બાઇક સાથે ગમખ્વાર અકસ્માત કરતા, બાઇકમાં રહેલા પતિ-પત્નિ અને પુત્રી ફંગોળાઇ રોડ ઉપર પટકાયા હતા. જે દરમિયાન ટ્રકનું ટાયર સાત વર્ષિય ક્રિષ્નાબેન ઉપર ફરી વળતા માતા-પિતાની નજર સામે ક્રિષ્નાબેનનું દર્દનાક મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જ્યારે ઇજાગ્રસ્ત પ્રદિપભાઇને ખુબ જ ગંભીર હાલતે અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ટ્રક ચાલક ફરાર થઇ જતાં રવિભાઇએ ટ્રક ચાલક વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. બે દિવસમાં કાળમુખા બે ટ્રકે બે લોકોનો જીવનદિપ બુઝાવ્યોબે દિવસ અગાઉ નારી ગામની નજીક ટ્રક ચાલકે બે મિત્રોના બાઇક સાથે ગમખ્વાર અકસ્માત કરતા બાઇક ચાલકનું મોત થયું હતું. ત્યારે આજે બીજી ઘટનામાં પણ ટ્રક ચાલકે એક પરિવારના ત્રણ સભ્યો સાથે ગમખ્વાર અકસ્માત કરતા સાત વર્ષિય બાળાનું દર્દનાક મોત થવા પામ્યું છે.ટ્રક ચાલકો શહેર તેમજ જિલ્લામાં પુરપાટ ઝડપે ચલાવી નિર્દોષ લોકોનો જીવ લઇ રહ્યા છે.
આયોજન:રાજ્ય સમન્વય ગ્રુપ દ્વારા જિલ્લામાં 85 શાળામાં સરદાર વંદના કરવામાં આવી
રાજ્ય સમન્વય ગ્રુપ દ્વારા સરદાર સાર્ધ શતાબ્દી નિમિતે ગુજરાતમાં 565 અને ભાવનગર જિલ્લામાં 150 શાળાઓમાં સરદાર વંદના કાર્યક્રમનું આયોજન થયું છે. તે પૈકી ભાવનગર જિલ્લામાં 85 શાળાઓમાં સરદાર વંદના કાર્યક્રમ સંપન થયો. શક્તિદાનભાઈ દ્વારા સ્વરચિત ગીતો, બળદેવસિંહ ગોહિલે સમન્વય પરિચય, સરદાર વંદના કાર્યક્રમની વિગત અને સરદારની દેશી રજ્વાડાઓના એકીકરણની કામગીરી, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર્સિંહજી દ્વાર દેશભરમાં સૌ પ્રથમ પોતાનું રાજય ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું વગેરે ઐતિહાસિક વિગતો રજુ કરી અને મુકેશભાઈ કક્કડે સરદારના પ્રેરક પ્રસંગો રજુ કર્યા. લંબે હનુમાન પ્રાથમિક શાળા, ભાવનગર ખાતે સંસ્થાને 36 વર્ષ પૂર્ણ થયા તે વિગત અપાઇ હતી. સૌરાષ્ટ્રની 250 શાળાઓમાં સરદાર વંદના યોજાશેસૌરાષ્ટ્ર ઝોનમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સમન્વય મિત્રો 250 શાળાઓમાં સરદાર વંદના કાર્યક્રમ કરશે. શિક્ષણ સંવર્ધન અભિયાન, રાજ્ય સમન્વય ગ્રુપ કે જે બિલકુલ નન ફોર્મલ, નન રજીસ્ટર્ડ સંસ્થાન છે. 36 વર્ષથી રાજ્યની શાળાઓમાં પ્રવૃત્તિઓ હાથ ધરતા રહ્યાં છે. 55 હજાર વિદ્યાર્થીઓને સરદાર પટેલની જાણકારી અપાશેસમન્વયે સરદાર સાહેબ ઉપર પ્રશ્ન પુસ્તિકા બહાર પાડી તે રાજ્યની 565 શાળાઓના વિદ્યાર્થીઓને આપીને તેની એક બહુવિકલ્પ કસોટી લેવામાં આવે છે. જેમાં રાજ્યના અંદાજે 55 હજાર વિદ્યાર્થીઓને સરદાર પટેલના નેતૃત્વ, ખુમારી, રાષ્ટ્રપ્રેમ અને સાદાઈના પાઠોથી અવગત કરીને વિદ્યાર્થી ઘડતરથી અનેકતામાં એકતા- રાષ્ટ્ર નિર્માણનું કાર્ય હાથ ધાર્યું છે.
શહેરના અંજલિ ચાર રસ્તા પાસે 19 ડિસેમ્બરની સાંજે ટુવ્હીલરચાલક બંસરી નામની યુવતીએ સિગ્નલ તોડ્યું હતું, જેથી ત્યાં હાજર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ તથા તેમના સ્ટાફે યુવતીને રોકી હતી. પોલીસે યુવતી પાસેથી લાઇસન્સ અને યુવતીએ પોલીસ પાસે આઈકાર્ડ માગતી વખતે બોલાચાલી થઈ હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાએ વકીલ યુવતી બંસરીને લાફો મારી દીધો હતો અને તુરંત એફઆઈઆર નોંધી હતી. આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફા મારી લોહી કાઢ્યું; મહિલાએ પોલીસકર્મીને ગાળો દીધી હોવાનો વીડિયો સામે આવ્યો જ્યારે બીજા દિવસે હેડ કોન્સ્ટેબલનો બોડી વોર્ન કેમેરાનું ફૂટેજ સામે આવ્યું હતું. જેમાં બંસરી ઠક્કર આઈકાર્ડ ફેંકી જયંતી ઝાલાને બેફામ ગાળો ભાંડતી જોવા મળી હતી. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ લાફાકાંડને લઈ દિવ્ય ભાસ્કરે શહેરના યુવક અને યુવતીઓને પૂછ્યું કે આ વિવાદમાં કોનો વાંક છે? જેમાં યુવતીઓએ લેડીઝનો જ વાંક કાઢ્યો હતો. તેની સાથે સાથે ગમે તે થાય પોલીસ કોન્સ્ટેબલ હાથ તો ના જ ઉપાડી શકે એમ પણ કહ્યું હતું. આ પણ વાંચો: 'ઊભો રે બે બાપના, બાયલા...', અમદાવાદમાં હેડ કોન્સ્ટે.ના લાફા પ્રકરણમાં બોડી વોર્ન કેમેરાનો વીડિયો સામે આવ્યો
સહાય:નાળિયેરના નવા વાવેતર માટે સરકારની સબસિડી મેળવી શકાશે
નાળિયેર હેઠળના વિસ્તારને વધારવા માટે યોગ્ય વિસ્તારોમાં નાળિયેરીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા ‘નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ’ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર રૂ.56000ની સહાય આપવામાં આવે છે. જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિક નાળિયેરની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા (0.08 હેક્ટર) નાળિયેરના રોપા વાવવા ઇચ્છુક છે, તેઓ આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા પાત્ર છે, જેમાં મહત્તમ 2 હેક્ટર (@160 રોપા/હે) નો સમાવેશ થાય છે. અરજી ફોર્મમાં નિયમો અને શરતોનો ઉલ્લેખ છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ, રોપાઓ રોપ્યા પછી https://coconutboard.gov.in/docs/aepgujarat.pdf પર ઉપલબ્ધ પ્રથમ વર્ષની સબસિડી અરજીઓ ડાઉનલોડ કરીને અરજી ફોર્મમાં દર્શાવેલ અન્ય દસ્તાવેજો સાથે ભરેલી અરજીઓ નાળિયેર વિકાસ બોર્ડ, રાજ્ય કેન્દ્ર - ગુજરાત, બી વિંગ, પહેલો માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ,ને મોકલવાની રહેશે.
કૃષિ વિશેષ:પ્રાકૃતિક ખેતી માટે મહત્વના પાંચ પરિબળો
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ,ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તળાજા તાલુકાના મોટાઘાણા ગામમાં મોકલીયાળી માતાજીના મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત, તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ ,તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અરવિંદભાઈ જીંજાળા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં પોતાના અનુભવો વર્ણવ્યા હતા. માસ્ટર ટ્રેનર મહેન્દ્ર કવાડ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને બીજામૃત , જીવામૃત , ઘન જીવામૃતની માહિતી આપી હતી. ફળ શંસોધન કેન્દ્ર મહુવાના સંશોધન વૈજ્ઞાનિક જી.એસ વાળા દ્વારા પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણની પદ્ધતિઓ અને બજાર વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મદદનીશ ખેતી નિયામક ડી.પી જાદવ દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતમાં ભાવનગર જિલ્લાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યુંતાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત તત્વો તથા પાંચ મુખ્ય આયામો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાવેતર પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેતપેદાશોના સ્ટોલનું પ્રદર્શન રાખવા આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત તેનું મહત્વ અને ખેતી અંગે વૈજ્ઞાનિક અભિગમની વિસ્તૃત જાણકારી પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા) ,ભાવનગર જે.એન. પરમાર દ્વારા આપવામાં આવી હતી.
વિશેષ સુવિધા:ધો.9-12માં અંધ પરીક્ષાર્થી કોમ્પ્યુટર વાપરી શકશે
આગામી ફેબ્રુઆરી માસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં તેમજ શાળા કક્ષાએ લેવાતી ધો.9 અને ધો.11ની પરીક્ષામાં દિવ્યાંગોને કેટલીક વિશેષ સુવિધા આપવામાં આવી છે જેમાં એક સુવિધા કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરવાની આપવામાં આવે છે. જોકે આ માટે કેટલીક શરતો પણ બોર્ડ દ્વારા મૂકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નોંધાયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગજન અધિકાર નિયમ મુજબ ધો.9થી 12માં કેટલીક વિશેષ છૂટછાટ કે રાહત પરીક્ષા દરમિયાન આપવામાં આવે છે અને ધો.9થી 12ની તમામ શાળાઓ માટે આ છૂટછાટ અમલી બનશે. લખવામાં અસમર્થ હોય તેવા વિદ્યાર્થી ઈચ્છે રાઇટરની સેવા નિયમ મુજબ આપવામાં આવશે પોતાના ધોરણથી એક ધોરણથી નીચો વિદ્યાર્થી રાઇટર તરીકે રાખી શકશે. ધોરણ 9 અને 11માં શાળાના આચાર્ય જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં રાઇટર મંજૂર કરવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને છે. દિવ્યાંગ વિદ્યાર્થી રાઇટર અથવા વાચક બે પૈકી કોઈ પણ એક જ સેવાની માગણી કરી શકશે. દિવ્યાંગ વિદ્યાર્થીને વાંચવા કે સમજવામાં સમસ્યા હોય તે ઈચ્છે તો વાચક પણ આપવામાં આવે છે. પરીક્ષામાં ઉપયોગમાં લેવાનારા કોમ્પ્યુટર કે લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ તથા બ્રેઇલ લિપિના સોફ્ટવેર સિવાય અન્ય કોઈ સોફ્ટવેર કે ડેટા ન હોય તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન ધરાવતા હોય તે સુનિશ્ચિત કરાવવા કોમ્પ્યુટર કે લેપટોપ ત્રણ દિવસ પૂર્વે પરીક્ષા કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે તથા જિલ્લા શિક્ષણાધિકારીએ કોમ્પ્યુટરના તજજ્ઞ દ્વારા આ બાબત સુનિશ્ચિત કરાવવાની રહેશે. પરીક્ષાના 15 દિવસ અગાઉ રજૂઆત કરી શકાશેઆ શરતો મુજબ આ પરીક્ષામાં સંપૂર્ણ અંધ કે અલ્પદ્રષ્ટિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર કે લેપટોપની ખરેખર જરૂરિયાત હોય તો સક્ષમ તબીબી અધિકારી દ્વારા મળેલા પ્રમાણપત્રના આધારે તેના ઉપયોગ કરવા માટે પરીક્ષાના 15 દિવસ અગાઉ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી દિવ્યાંગ વિદ્યાર્થીને બ્રેઇલ લિપિ લોડ કરેલું સોફ્ટવેર યુક્ત કોમ્પ્યુટર કે લેપટોપ વાપરવાની પરવાનગી આપે તેવા કિસ્સામાં દિવ્યાંગ વિદ્યાર્થીએ પોતે કમ્પ્યુટર કે લેપટોપની વ્યવસ્થા કરવાની રહેશે. દર એક કલાકે 20 મિનિટ વધારાની મળશેદિવ્યાંગ વિદ્યાર્થીને પ્રશ્નપત્રના દરેક કલાકે 20 મિનિટનો વળતર સમયે એટલે કે વધારાનો સમય આપવામાં આવશે. જેમાં એક કલાકના પ્રશ્નપત્ર માટે 20 મિનિટ, બે કલાકનું પેપર હોય તો 40 મિનિટ અને ત્રણ કલાકનું પ્રશ્નપત્ર હોય તો 60 મિનિટનો વળતર સમય આપવામાં આવશે. આ વળતર સમય તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને લહિયાની મદદ લે અથવા ન લે તો પણ આપવામાં આવશે. અંધત્વવાળાને પ્રશ્નોમાં છૂટછાટ અપાશેઅલ્પદ્રષ્ટિ કે અંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં આકૃતિ, નકશા અને ગ્રાફ દોરવાના હોય તેવા પ્રશ્નોમાં અન્ય વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવશે આ પ્રકારની છૂટછાટ આ દિવ્યાંગોને આપવામાં આવશે.
કાર્યવાહી:ગૌવંશનુ માંસ ખરીદનાર મરહબા હોટલના ઉમરની ધરપકડ કરાઈ
ભાવનગર શહેરમાં એકાદ માસ અગાઉ 106 કિલોગ્રામ ગૌમાંસ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા બે ભેંસ, પાંચ પાડા અને એક વાછરડીને મુક્ત કરાવી હતી. જે બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને કુલ છ જેટલા આરોપીની ધરપકડ કરાઇ હતી. જે બાદ એક નોનવેજ હોટલ ચલાવતો સંચાલકની પણ સંડોવણી હોવાનું ખુલતા આજે પોલીસે સાંઢિયાવાડ વિસ્તારમાંથી મરહબા હોટલમાં જઇ હોટલના સંચાલક ઉમર મુખ્તારની ધરપકડ કરતા મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ગૌવંશ પશુધનની ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જેમાં ભાવનગર એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, સાંઢિયાવાડમાં રહેતો હુસૈન અબ્દુલભાઇ બાવનકા અને મોહસીન હનીફભાઇ શેખ ગૌવંશની કતલ કરી, ગૌમાંસનું વેચાણ કરતા હોય તેવી બાતમી મળતા પોલીસે રેડ પાડી, 106 કિલોગ્રામ ગૌવંશના માંસ સાથે પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરી હતી. અને કતલ માટે રાખેલા બે ભેંસ, પાંચ પાડા અને એક વાછરડીને મુક્ત કરી હતી. જે બાદ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી અન્ય ચાર એમ કુલ છ શખ્સોની ધરપકડ કરી જેલમાં ધકેલ્યા હતા. ત્યારે આ મામલે સાંઢિયાવાડમાં આવેલ નોનવેજ મરહબા હોટલના સંચાલકની પણ ભુમિકા સપાટી ઉપર આવતા આજે મોડી સાંજે એસ.ઓ.જી. પોલીસે મરહબા હોટલમાં પોલીસનો મોટો કાફલો પહોંચ્યો હતો અને હોટલનો સંચાલક ઉમર મુખ્તાર ઉર્ફે ઉજૈફ મુસ્તુફાભાઈ ખોખરની ધરપકડ કરતા લોકોના મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા. આ દરમિયાન પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીની પોલીસ દ્વારા સઘન પુછતાછ કરવામાં આવી રહી છે. હોટલનો સંચાલક ગૌ વંશનુ માંસ ખરીદી વેચાણ કરતો હતોપોલીસની તપાસ દરમિયાન પકડાયેલા છ આરોપીની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મરહબા હોટલનો સંચાલક ઉમર મુખ્તાર ખોખર આરોપીઓ પાસેથી ગૌમાંસની ખરીદી કરતો હતો અને તેની મરહબા નામની હોટલમાં ગૌમાંસનું વેચાણ કરતો હોવાનું તમામ આરોપીઓ પોલીસ સમક્ષ કબુલાત આપી હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સરહદી કચ્છમાં આરોગ્ય સુવિધાને મળશે વેગ:ચાર પીએચસીને સીએચસીમાં અપગ્રેડ કરાશે
સરહદી કચ્છ જિલ્લામાં આરોગ્ય વ્યવસ્થાને વધુ સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને અંતરીયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુધારવાના હેતુથી જિલ્લાના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ માટે સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય અનુસાર લખપત તાલુકાના બરંદા, અબડાસા તાલુકાના ડુમરા, ભુજ તાલુકાના ગોરેવાલી અને રાપર તાલુકાના બાલાસર ખાતે હાલ કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સીએચસીમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલ આ વિસ્તારોમાં માત્ર પ્રાથમિક સ્તરની સારવાર ઉપલબ્ધ છે, પરંતુ સીએચસી બનતા જ વિશેષજ્ઞ ડોક્ટરો, પ્રસૂતિ સેવા, ઈમરજન્સી સારવાર તેમજ વધુ આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે રાજ્યના આગામી બજેટમાં આ માટે જરૂરી નાણાંની ફાળવણી કરવામાં આવશે. આ સાથે આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં નવા શરૂ થયેલા અન્ય 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઇમારતો બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. તેમાં લખપત તાલુકાના પાન્ધ્રો અને નરા, રાપર તાલુકાના કીડીયાનગર, કુંભારીયા, રવમોટી, લોદ્રાણી અને અમરાપર, નખત્રાણા તાલુકાના ફુલાય અને સાયરા તેમજ ભુજ તાલુકાના લોડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. અબડાસા મત વિસ્તારના પાન્ધ્રો, નરા, ફુલાય અને સાયરા પીએચસીના નવા બિલ્ડીંગ બનાવવા 620 લાખ મંજૂર કરાયા છે. તેમજ ડુમરા પીએચસીને સીએચસીની મંજૂરી મળતા ધારાસભ્ય પી.એમ. જાડેજાએ સરકારનો આભાર માન્યો હતો. પીએચસી માટે જમીન શોધખોળની કામગીરી ચાલુગ્રામ્ય વિસ્તારોમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઇમારત નિર્માણ માટે જમીન શોધવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેમાં પાન્ધ્રો, નરા અને લોડાઈ ગામોમાં જમીન મળી હોવાનું જાણવા મળ્યું છે અને આ માટે સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પણ પસાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય સાત ગામોમાં જમીન શોધવાની કામગીરી હજી ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હાલમાં આ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શાળાના ક્વાર્ટર, જૂની પ્રાથમિક શાળા, સબ સેન્ટરના મકાનો, ડિસ્પેન્સરી, પંચાયતના મકાન કે ખાનગી મકાનોમાં ચાલી રહ્યા છે. નવી ઇમારતોનું નિર્માણ થતાં ગ્રામ્ય સ્તરે આધુનિક આરોગ્ય સુવિધાઓ વિકસશે અને સ્થાનિક લોકોને આરોગ્ય સેવા માટે લાંબા અંતર સુધી જવું નહીં પડે, જેના કારણે લોકોમાં નોંધપાત્ર ફાયદો થશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)PHC ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓનું પ્રથમ કેન્દ્ર હોય છે. અહીં સામાન્ય બીમારીઓની સારવાર, રસીકરણ, માતા-બાળ આરોગ્ય સેવા તથા સામાન્ય પ્રસૂતિ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે એક MBBS ડોક્ટર અને મર્યાદિત સ્ટાફ કાર્યરત હોય છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)CHC વધુ વિકસિત આરોગ્ય કેન્દ્ર હોય છે અને તે PHC માટે રેફરલ સેન્ટર તરીકે કાર્ય કરે છે. અહીં વિશેષજ્ઞ ડોક્ટરો, 24 કલાકની ઇમરજન્સી સેવા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસૂતિ, નાની સર્જરી, વધુ બેડ ક્ષમતા અને આધુનિક સાધનો ઉપલબ્ધ હોય છે
ઘટસ્ફોટ:14 વર્ષની છાત્રાને 3 હવસખોરોએ પીંખી અને 2 ઈસમોએ બીભત્સ માંગણી કરી હતી
તાલુકાના એક ગામની 14 વર્ષીય છાત્રા પર દુષ્કર્મના બનાવ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં આ બનાવમાં ત્રણ આરોપીઓએ વારફરતી હવસનો શિકાર બનાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે બાદ વધુ બે આરોપીઓએ શરીર સબંધ બાંધવાની માંગણી કરી પજવણી કરતા હોસ્ટેલમાં છાત્રા ગુમસુમ રહેવા લાગી હતી, જે બાબતે શિક્ષકે તેની માતાને જાણ કરતા પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી અને પોલીસે બે આરોપીની અટકાયત કરી અન્ય બે સગીર આરોપીઓ સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે એક આરોપી હાથ લાગ્યો નથી. માનકુવા પોલીસ મથકે ભોગ બનનાર સગીરાની માતાએ 22 વર્ષીય આરોપી સરફરાજ ખલીફા, 19 વર્ષીય આરોપી ઈજાજ ત્રાયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે. ગત મે મહિના દરમિયાન સગીર આરોપીએ છાત્રાના ભાઈને મારી નાખવાની ધમકી આપી ગામના મંદિર પાસે બોલાવી હતી. છાત્રા મળવા માટે ગઈ ત્યારે આરોપીએ છરી બતાવી તેનું અપહરણ કર્યું હતું અને મંદિર નજીક આવેલા ઓટલા પર બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો. જેના સાતેક દિવસ બાદ આરોપી સરફરાજ ખલીફાએ સગીરાને એજ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવના પાંચ મહિના બાદ દિવાળી વેકેશનમાં છાત્રા ઘરે આવી ત્યારે ત્રીજા આરોપીએ (સગીર વયનો) પણ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આરોપી ઈજાજ ત્રાયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીએ સગીરાનો અવાર નવાર પીછો કર્યો હતો અને શરીર સબંધ બાંધવાની માંગણી કરી છેડતી કરી હતી. એક બાદ એક પાંચેય આરોપીઓએ શોષણ કરતા છાત્રા હોસ્ટેલમાં ગુમસુમ રહેવા લાગી હતી. તેવામાં દીકરીને નાસ્તો આપવા માટે હોસ્ટેલ ગયેલા ફરિયાદીને આ મામલે શિક્ષકે વાત કરી હતી. જેથી ફરિયાદીએ પોતાની દીકરીને પૂછપરછ કરતા સમગ્ર આપવીતી જણાવી હતી. સમગ્ર મામલે તપાસ કરનાર બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.રાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,પોલીસે પોક્સો સહીતની કલમ તળે ગુનો દાખલ કરી આરોપી સરફરાજ અને ઈજાજની અટકાયત કરી લીધી છે. જ્યારે બે સગીર આરોપી સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે એક આરોપી હજી પોલીસને હાથ ન લાગતા તેની ઉમર સહીતની વિગતો સામે નથી આવી જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 5 આરોપી, 5 મહિના બ્લેકમેઈલ અને 3 વખત દુષ્કર્મ14 વર્ષની સગીરાને પાંચ આરોપીઓએ વારાફરતી બ્લેકમેઈલ અને ધાક ધમકી કરી હતી. સગીર આરોપીએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યા બાદ જાણે અન્ય ચાર આરોપીઓએ પણ સગીરાને હવસનો શિકાર બનાવવાનું નક્કી કરી લીધું હોય તેમ એક પછી એક સામે આવ્યા હતા. સતત પાંચ મહિના સુધી શારીરિક શોષણનો ભોગ બનેલી છાત્રાના માનસ પર તેની અસર દેખાઈ હતી. જોકે આરોપીઓએ પહેલાથી જ પ્લાનિંગ કરીને શિકાર બનાવી હતી કે કેમ, આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે સહીતની વિગતો પોલીસની વધુ પૂછપરછ દરમિયાન સામે આવશે. હાલ પાંચેય આરોપીઓ સામે પોક્સો સહીતની ભારેખમ કલમો તળે ગુનો દાખલ કરાયો છે.
સોશિયલ મીડિયામાં એથનિક વેઅરમાં એક સુંદર ને ક્યૂટ યુવતી પોતાના આગવા એક્સપ્રેશનથી લોકોનાં દિલ જીતી રહી છે. આ યુવતી એટલે માહી પટેલ. 'રીલના રાજ્જા'ના આજના ત્રીજા એપિસોડમાં આપણે વાત કરીશું માહી પટેલની. માહી પટેલને લગ્નમાં કેવી કેવી અડચણો આવી? માહી પટેલે ક્યારથી વીડિયો બનાવવાના શરૂ કર્યા? પહેલી કમાણી કેટલી હતી? માહીએ નવા કન્ટેન્ટ ક્રિએટર્સને શું સલાહ આપી…? મૂળ મહેસાણાના વરસોડાના માહી પટેલના પિતા ગાંધીનગરમાં સરકારી નોકરી કરતા અને માહીએ ત્યાંથી જ સ્કૂલિંગ કર્યું. ત્યારબાદ અમદાવાદમાંથી MBA કર્યું. માહી કહે છે, 'હું પરિણીત છું અને મારા પતિ દર્શન હોટલ ઇન્ડસ્ટ્રીમાં છે ને નાનો દીકરો છે. પરિવારમાં સાસુ-સસરા ને નણંદ છે.' 'ભણવું ઘણું જ ગમતું'માહી સ્કૂલિંગ દિવસોને યાદ કરતાં જણાવે છે, 'નાનપણમાં મને અન્ય બાળકોની જેમ ભણવાનો કંટાળો નહોતો આવતો, પરંતુ મને ભણવું ઘણું જ ગમતું. મારા હેન્ડરાઇટિંગ પણ ઘણાં જ સારાં હતાં. આટલું જ નહીં, મને સ્કૂલની દરેક ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેવો ગમતો. સ્કૂલની એક પણ એવી એક્ટિવિટી ના હોય, જેમાં મેં ભાગ ન લીધો હોય. નાની હતી ત્યારે સો.મીડિયામાં કંઈક કરીશ તેવું વિચાર્યું નહોતું. હા, ત્યારે એવી ઈચ્છા હતી કે જર્નલિઝમનો કોર્સ કરીને જર્નલિસ્ટ બનું. જોકે, તે સમયે પેરેન્ટ્સ સપોર્ટ ના કર્યો, કારણ કે એમને આ ફીલ્ડ અંગે ખાસ કંઈ ખ્યાલ નહોતો તો તેમણે ના પાડી દીધી. પછી તો MBA કર્યું ને મેરેજ થઈ ગયા. લગ્ન બાદ પતિએ દરેક બાબતમાં સપોર્ટ કર્યો એટલે ત્યાં મને કોઈ જાતની રોકટોક નહોતી એટલે મારી ઈચ્છા પ્રમાણે હું કરી શકતી.' 'અમે કોલેજમાં સાથે ભણતાં'માહીને લગ્ન અંગે સવાલ કરતાં જ રતુંબડા ગાલ સાથે તે કહે છે, 'હું ને દર્શન ગાંધીનગરમાં કોલેજમાં સાથે હતાં. હું બીબીએ કરતી હતી અને તે બી.કોમ. કરતા પણ અમારું કોલેજ કેમ્પસ એક જ હતું. ત્યારથી અમારી વચ્ચે ફ્રેન્ડશિપ સ્ટાર્ટ થઈ. અમારી મુલાકાતની વાત કરું તો દર્શન ને મારા ભાઈનો કોમન ફ્રેન્ડ હતો અને એના થ્રૂ જ અમે બંને મળ્યાં. ફ્રેન્ડશિપ ક્યારે પ્રેમમાં પરિણમી તે તો અમનેય ખ્યાલ જ ના રહ્યો. બીબીએ પૂરું કર્યું ને પછી મેં અમદાવાદથી એમબીએ કર્યું.' 'લગ્નમાં ઘણી અડચણો આવી''હું બ્રાહ્મણ ને દર્શન પટેલ હોવાથી મારા પપ્પા ને દર્શનનાં મમ્મી કોઈ કાળે આ લગ્ન માટે તૈયાર નહોતાં. અમે બંનેએ મનાવવાના બહુ જ પ્રયાસ કર્યા, પણ તેઓ માન્યાં જ નહીં. અંતે અમે અલગ થઈ ગયાં. અમે છ મહિના સુધી એકબીજા સાથે વાત સુદ્ધાં ના કરી. આ દરમિયાન અમને એકબીજા અંગે કશી જ જાણ નહોતી, પણ કહેવાય છે ને કે નસીબમાં જે લખ્યું હોય તે જ થાય. અમે બંનેએ લગ્ન માટે પાત્રો જોવાનાં પણ શરૂ કરી દીધાં હતાં. હું તો જે પણ છોકરો જોવા આવે તેને સીધું કહી જ દેતી કે હું બીજા છોકરાના પ્રેમમાં છું તો સામે દર્શન છોકરીને કંઈ કહી ના શકે, પરંતુ તે છોકરીઓ પસંદ કરે જ નહીં. અમને બંનેને તે સમયે મનમાં એવું હતું કે પેરેન્ટ્સ માનતાં નથી તો હવે લગ્ન કેવી રીતે કરવાં. અમે બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં. અમારે એ નક્કી હતું કે ભાગીને તો લગ્ન કરીશું જ નહીં, પેરેન્ટ્સની સંમતિ હશે તો જ કરીશું. આ રીતે છએક મહિના પસાર થયા. અચાનક એક દિવસ મને દર્શનનાં માસીના દીકરાનો ફેસબુક પર મેસેજ આવ્યો. તેમણે પૂછ્યું કે તારે ખરેખર દર્શન સાથે લગ્ન કરવાં જ છે? મેં તો તરત જ હા પાડી. માસીના દીકરાને દર્શનની પરિસ્થિતિ ખ્યાલ હતી તે ઘણો જ ઉદાસ રહેતો. માસીના દીકરાના પ્રયાસથી મેં ને દર્શને ફરી વાત કરવાનું ચાલુ કર્યું. પછી પેરેન્ટ્સને મનાવવા ફરી પ્રયાસો કર્યા. પેરેન્ટ્સ કોનું કહ્યું માને છે તે વડીલોનાં નામ વિચાર્યાં ને તેમને મનાવ્યાં. આ વડીલોએ પછી અમારાં પેરેન્ટ્સને મનાવ્યા ને છેલ્લે બંને પરિવારો મળ્યા ને ફાઇનલી લગ્ન નક્કી થયાં.' 'પપ્પા મારી સાથે બોલતા નહોતા''મારા પપ્પા ઘણા જ સ્ટ્રિક્ટ છે. તેઓ બ્રાહ્મણ સમાજના આગેવાન અને તેમની જ દીકરી નાત બહાર લગ્ન કરે તે વાત તેમને ગમે નહીં, પણ ઘરના બધા માની ગયા હતા એટલે તેમને માન્યા સિવાય છૂટકો નહોતો. આ જ કારણે પપ્પાએ મારી સાથે બોલવાનું તદ્દન બંધ કરી દીધું હતું. એક જ ઘરમાં રહેવા છતાં પપ્પા મારી સાથે એક શબ્દ બોલે નહીં. મને આ વાતને કારણે ઘણું જ ટેન્શન રહેતું, પરંતુ પરિવારે એમ કહીને સાંત્વના આપી કે બીજા માની ગયા છે તો તું આ અંગે બહુ વિચારીશ નહીં. તારા પપ્પા પણ આજે નહીં તો કાલે માની જ જશે. મેં પણ આ વાત સ્વીકારી લીધી. લગ્નનો દિવસ આવ્યો, ફેરા ફર્યા પણ પપ્પા ત્યાં સુધી મારી સાથે બોલે નહીં. છેલ્લે મારી વિદાયનો સમય આવ્યો. તે દિવસે હું પપ્પાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને પપ્પા પણ એકદમ ભાવુક થઈ ગયા. વિદાય દરમિયાન અમારી વચ્ચેના અબોલા તૂટ્યા ને પપ્પા ફરી મારી સાથે વાત કરવા લાગ્યા.' 'લગ્ન બાદ પાંચ વર્ષ જૉબ કરી'માહી કહે છે, 'મેરેજ થઈ ગયાં ને મેં કોર્પોરેટ કંપનીમાં પાંચ વર્ષ HRની જૉબ કરી. પછી મેટરનિટીની લીવ લીધી ને ત્યારબાદ જૉબ રિઝ્યૂમ જ કરી નહીં. મારા સાસુ-સસરા વિસનગર રહે અને હું ને દર્શન અમદાવાદ એકલાં રહીએ. આ જ કારણે દીકરાની સંભાળ કોણ રાખે? મને એવું હતું કે મારું બાળક મારા હાથે જ મોટું થાય. એના માટે કોઈ આયા કે નેની મારે રાખવી નહોતી. આ દરમિયાન અચાનક જ કોરોના આવી ગયો અને અમે વિસનગર જતાં રહ્યાં.' 'કોરોનાને કારણે ઘરે બેસવાનો વારો આવ્યો'કોરોનાને કારણે આખો દિવસ ઘરમાં જ બેસી રહેવાનું થયું. આખો દિવસ ઘરમાં કરવું શું? મેં ને દર્શને પછી માત્ર મસ્તી ખાતર વીડિયો બનાવવાના શરૂ કર્યા ને આજે તો અમે હાઇલી પ્રોફેશનલી વીડિયો બનાવીએ છીએ. તે સમયે ટિકટોક ચાલતું હતું અને અમે પહેલો વીડિયો ટીકટોકમાં જ બનાવ્યો. ત્યારે સ્લો મોશનના વીડિયો ચાલતા. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી અમે પાઉડર ઉછાળવાનો સ્લો મોશનમાં વીડિયો બનાવ્યો હતો. ટિકટોકમાં અમે આવા જ વીડિયો બનાવ્યા અને તે ઘણા જ ચાલતા. અમે સોંગ અને સ્લો મોશનમાં બિટ્સ મેચ કરીને વીડિયો બનાવતા. ટિકટોકના બધા જ વીડિયો અમે ગામડે જ બનાવ્યા હતા. આ સમયે અમે ઇન્સ્ટા કે યુ ટ્યૂબ પર કોઈ વીડિયો પોસ્ટ કરતા નહોતા. ટિકટોકમાં અમારા બે લાખ જેટલા ફોલોઅર્સ હતા. પછી તો તેના પર બૅન આવ્યો અને તે આખો દિવસ અમે બંને ઘણા જ દુઃખી રહ્યાં હતાં.' 'ઇન્સ્ટામાં પોપ્યુલર થઈ''ટિકટોક તો બંધ થઈ ગયું પણ અમે વીડિયો બનાવવાના બંધ કર્યા નહીં અને હવે અમે ઇન્સ્ટામાં વીડિયો મૂકવાના શરૂ કર્યા. આ સમયે હું મોડલિંગ પણ કરતી. ટિકટોકના જૂના વીડિયો જ અમે ઇન્સ્ટામાં પોસ્ટ કરવાની શરૂઆત કરી ને અમારી પોસ્ટ સારી એવી વાઇરલ થવા લાગી. પછી તો લાગ્યું કે આમાં જ કંઈક આગળ કરાય અને અમે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું. એક લાખ ફોલોઅર્સ થતાં જ બ્રાન્ડ્સ સામેથી આવવા લાગી ને અમે પેઇડ પ્રમોશન શરૂ કર્યું. આજના સમયે સો.મીડિયામાં જ માર્કેટિંગ થાય છે. પછી તો એક પછી એક બ્રાન્ડ્સ આવવા લાગી. સાથે સાથે અમે એન્ટરટેઇનમેન્ટના વીડિયો પણ મૂકતા. ધીમે ધીમે મારા પતિ પણ મારી સાથે વીડિયો બનાવતા. છેલ્લાં બે વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ.' 'સાસુમાને શરૂઆતમાં વીડિયોમાં કામ કરું તે પસંદ નહોતું'માહીને પૂછવામાં આવ્યું કે સાસુ-સસરાનું રિએક્શન કેવું હતું તો જવાબમાં તે કહે છે, 'અમે શરૂઆતમાં તો ગામડે જ હતાં એટલે તેમને ખ્યાલ જ હતો ને અમે તેમને વીડિયો પણ બતાવતા. તેઓ હજી પણ થોડા જુનવાણી છે પણ સમય સાથે તેમનામાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. હું પહેલાં તો સાડી પહેરીને જ વીડિયો બનાવતી એટલે તેમને શાંતિ હતી કે ઘરની વહુ આમન્યામાં રહીને જ કામ કરે છે. પાછું હું તેમના દીકરા એટલે કે મારા પતિ સાથે જ વીડિયો બનાવતી એટલે પણ તેમને કોઈ વાંધો નહોતો. એ વાત છે કે ટિકટોકના વીડિયોમાં તેમને કંઈ વાંધો નહોતો, પણ જ્યારે તેમને એ વાતની ખબર પડી કે હવે અમે આમાં પ્રોફેશનલી આગળ વધી રહ્યાં છીએ તો તેમનું થોડું ગમ્યું નહોતું. આસપાસના લોકો પણ કહેવા લાગ્યા કે તમારી વહુ તો આવા આવા વીડિયો બનાવે છે. આવા વીડિયોમાં તો કામ જ ના કરાય. મારાં સાસુ ગાયત્રી સંપ્રદાયમાં વધુ માને છે તો તેઓ થોડાં આધ્યાત્મિક એટલે તેમને આ બધું ગમે નહીં. તેઓ આ વાત સ્વીકારી શકતાં નહોતાં.' 'સાસુને વિશ્વાસ અપાવ્યો''પછી તો મેં ને દર્શને સાથે બેસીને આ મુદ્દે તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરીને વિશ્વાસ અપાવ્યો કે અમે ક્યારેય એવું કંઈ જ નહીં કરીએ કે આપણા ઘરની સમાજમાં બદનામી થાય. મેં તેમને એ પણ કહ્યું કે હું તમારા છોકરા સાથે જ વીડિયો બનાવું છું એટલે તમે કોઈ ટેન્શન ન લો. પછી તો મારા સાસુ ટેન્શન ફ્રી થઈ ગયાં ને અમે વીડિયો બનાવવાનું ચાલુ જ રાખ્યું. એક વાત છે કે મારા વીડિયો નાનાથી માંડીને દાદા-દાદી પણ જોઈ શકે છે. અમારા વીડિયોમાં ક્યારેય શોર્ટ કપડાં કે એવી વાતો આવતી નથી કે કોઈને શરમ અનુભવાય. આ જ કારણે મારા પરિવારને કોઈ વાંધો નથી.' 'મોડલિંગ પણ કર્યું'મોડલિંગ કરિયરને યાદ કરતાં માહી કહે છે, 'મારું સર્કલ જ એવું છે અને એમાંથી જ કોઈક જાણીતાએ મારો સંપર્ક કર્યો ને મારી કરિયર શરૂ થઈ. હું ફેશન મોડલિંગ નહોતી કરતી, હું એથનિક વેઅર પર જ મોડલિંગ કરતી. સૌથી વધારે સાડીમાં મોડલિંગ કર્યું છે. સુરતમાં મોટાભાગની સાડીની બ્રાન્ડમાં મારું જ નામ છે. સુરતની લગભગ બધી જ સાડીઓ મારા ઘરે મોડલિંગ માટે આવતી. હું એક દિવસમાં 60-70 સાડીઓ પહેરીને શૂટ કરતી. સુરતમાંથી મને બોક્સનાં બોક્સ સાડી ભરીને આવે અને પછી હું મારા ઘરે જ એક પછી એક સાડી પહેરીને ફોટો ક્લિક કરાવતી. સાડી પહેરાવવા માટે ડ્રેપર પણ આવતા. ઘરે શૂટ કરીને સાડી પછી પાર્સલ કરી દેવાની ને ફોટો સુરત મોકલી દેવાના. આ માટે મારી એક અલગ ટીમ હતી. સતત આખો દિવસ આ રીતે સાડી બદલતા રહેવાની હોય એટલે બહુ જ થાક લાગે. એક સાડીમાં ચારથી પાંચ પોઝ આપવાના. સવારે પાંચ વાગ્યે ઊઠી જતી. તૈયાર થઈને સવારના સાત વાગ્યે શૂટ શરૂ થાય કે સાંજના સાત વાગ્યા સુધી સતત ચાલે. શૂટિંગ બાદ ખાવાના હોશ પણ ના રહે ને સીધું સૂઈ જવાની ઈચ્છા થાય. આ રીતે ત્રણ દિવસ શૂટ કરીએ. હવે હું મોડલિંગ કરતી નથી, કારણ કે મોડલિંગ દરમિયાન હું બાળકને ટાઇમ આપી શકતી નહોતી. સાચું કહું તો હાલ તો ઇન્સ્ટામાંથી જ ટાઇમ મળતો નથી. પ્રમોશન ઉપરાંત અમારું ઓરિજિનલ કન્ટેન્ટ પણ બનાવું પડે. માત્ર પ્રમોશનલ રીલ્સ પોસ્ટ કરી શકીએ નહીં. પછી તો ઇન્સ્ટાનું અલ્ગોધિરમ પર ખોરવાઈ જાય. મોડલિંગ કરવામાં બધું જ મેનેજ થતું નહોતું એટલે છોડી દીધું.' 'પહેલી કમાણી પાંચ હજાર રૂપિયા હતી''શરૂઆતમાં તો હું ને મારા પતિ બે જ હતા. શૂટ પણ જાતે જ કરતા અને એડિટિંગ પણ ફોન પર કરતા. હવે એડિટર, વીડિયોગ્રાફર, ફોટોગ્રાફર એ રીતે ચાર-પાંચ લોકોની ટીમ છે. ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો અમે તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી હતી. અમારી પાસે ફોન તો હતો જ ને વીડિયો શૂટ કર્યા. કમાણીની વાત કરું તો તે ફોલોઅર્સ પર આધાર રાખે છે, પરંતુ મને ઇન્સ્ટામાંથી પહેલી કમાણી બ્રાન્ડ માટે પાંચ હજાર મળ્યા હતા.' માહી પટેલે એમ પણ જણાવ્યું, 'હું હંમેશાં મારી કમાણીનો કેટલોક ભાગ અલગ રાખીને જરૂરિયાતમંદને મદદ કરતી હોઉં છું. મને અંગત રીતે દાન-પુણ્ય કરવું ગમે છે અને તેથી જ દર મહિને અમુક પૈસા અલગથી રાખું છું.' 'એક સમયે કુર્તી પણ વેચતી'માહી વધુમાં કહે છે, 'મને નાનપણથી ઘરે શાંતિથી બેસવાની ટેવ નહોતી. હું હંમેશાં કંઈક ને કંઈક કામ કરતી. શરૂઆતમાં જૉબ કરી અને પછી ઘરેથી કુર્તી વેચવાનો બિઝનેસ પણ કર્યો. મને ક્લોધિંગનો ગાંડો શોખ છે અને મને નવાં નવાં કપડાં પહેરવાં ઘણાં જ ગમે. મને કપડાં રીપિટ કરવાં બહુ જ ઓછાં ગમે. ભવિષ્યમાં મારે ક્લોધિંગનો બિઝનેસ કરવો છે. ખરી રીતે તો, મારી ઓડિયન્સ પણ મને કપડાંથી જજ કરતી હોય છે. આ ઉનાળામાં હું 'મોરપિચ્છ બાય માહી' નામથી ઓનલાઇન યુનિક ને ડિઝાઇનર ક્લોધિંગ બ્રાન્ડ લૉન્ચ કરીશ. મારા પતિને જમવાનો શોખ છે તો તે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે. મને નાનપણથી વાંચવા કરતાં લખવાનો ઘણો જ શોખ છે.' 'શરૂઆતમાં સ્ક્રિપ્ટ લખતાં, હવે તો આસપાસની ઘટના પરથી વીડિયો બનાવીએ'માહીને પૂછવામાં આવ્યું કે વીડિયોના આઇડિયા કેવી રીતે આવે છે તો તેમણે કહ્યું, 'અમે બંને એક્ટર જેવાં જ છીએ અને અમારા વિચારો પણ એવા જ છીએ. શરૂઆતમાં સ્ક્રિપ્ટ વિચારવી, લખવી ને પછી શૂટ કરવું.. આ બહુ જ કોમ્પ્લિકેટેડ લાગતું. બીજાના વીડિયો જોયા તો ખ્યાલ આવ્યો કે સ્ક્રિપ્ટ વગર આસપાસની ઘટના પરથી જ વીડિયો બનાવવાના છે તો અમે પણ એ જ રીતે શરૂ કર્યું. હવે અમારું મગજ જ એ રીતે ટેવાઈ ગયું છે કે આસપાસ કંઈક થાય તો તરત જ આઇડિયા આવી જાય કે આના પરથી રીલ બનશે કે નહીં! અમે અમારી લાઇફસ્ટાઇલ વધારે બતાવીએ છીએ ને અમારું જીવન તો ખુલ્લી કિતાબ જેવું બની ગયું છે.' 'છ મહિના પહેલાં જ સિલ્વર બટન મળ્યું''શરૂઆતમાં અમારે રીટેક વધારે થતા, એક્ટિંગ ના ફાવે કે ડાયલૉગ્સ બોલવામાં લોચા પડે પણ હવે તો કંઈ જ વાંધો આવતો નથી. પ્રમોશનલ રીલ્સમાં થોડો વાંધો આવે, કારણ કે તેમના શબ્દો અલગ હોય એટલે વાર લાગે. હમણાં જ એક આઈ હૉસ્પિટલ પર રીલ બનાવી હતી તો તેના ટેક્નિકલ શબ્દો પહેલી જ વાર સાંભળતાં હોઈએ એટલે રીટેક થાય, બાકી એક્ટિંગમાં તો ક્યારેય સમસ્યા આવતી જ નથી. એક રીલ બનાવવામાં અમારે બેથી ત્રણ કલાક જેટલો ટાઇમ જાય. યુ ટ્યૂબમાં અમે જે ઇન્સ્ટામાં મૂકીએ તે જ પોસ્ટ કરી દઈએ. યુ ટ્યૂબ તરફથી છ મહિના પહેલાં જ સિલ્વર બટન મળ્યું હતું.' 'સફળતાને પૈસા સાથે મૂલવી નથી'માહીને સફળતા અંગે સવાલ કરતાં જ તેમણે કહ્યું, 'મેં ક્યારેય સફળતાને પૈસા સાથે મૂલવી નથી. હું આજે જ્યારે ઘરની બહાર નીકળું ત્યારે ભાગ્યે જ એવું બને કે કોઈ મને ઓળખ્યું ના હોય. મને સામેથી લોકો બોલાવીને કહે છે, તમે માહી પટેલ છો ને... આ ફીલિંગ જ અલગ છે. પુરુષો ને છોકરાઓ જલ્દીથી ફોટો ક્લિક કરાવવા આવતા નથી પણ તેઓ એકવાર તો પૂછી જ લે કે તમે માહી છો ને? યુઝર્સનો આ પ્રેમ જ મારા માટે સેલરી છે. એમનો પ્રેમ જ સર્વસ્વ છે. અત્યાર સુધી 800થી વધારે વીડિયો બનાવ્યા છે. હું ટ્રાય કરું કે રોજ એક વીડિયો પોસ્ટ કરું.' 'ક્યારેક તો પતિ સાથે ઝઘડો થઈ જાય'શૂટિંગની વાત કરતાં માહી જણાવે છે, 'ઘણીવાર તો મારે બોલવામાં લોચા પડી ગયા હોય ને ક્યારેય બોલવાનું કંઈક અલગ હોય ને બોલાય કંઇક બીજું જાય. ઘણીવાર તો હું ને મારા પતિ દર્શન બંને કેટલીક બાબતો પર રકઝક કરવા લાગીએ તો શૂટિંગ જ અધૂરું મૂકી દઈએ તો ઘણીવાર શૂટિંગ પહેલાં જ અમારી વચ્ચે દલીલો થઈ જાય તો હું શૂટિંગ કરવાની જ ચોખ્ખી ના પાડી દઉં. એકવાર નવરાત્રિનું ફાઇનલ શૂટ કરવાનું હતું ને બધી જ તૈયારી કરી લીધી. અમે જ્યાં શૂટિંગ કરવાનું હતું ત્યાં ગયા, પણ અચાનક જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો અને અમે ટેન્શનમાં આવી ગયા. વરસાદ તો બંધ થયો નહીં ને અમને ખર્ચો માથે પડ્યો. પછી તો શૂટિંગ રિ-શિડ્યૂઅલ કર્યું અને ફટોફટ શૂટિંગ પતાવ્યું. ઘણીવાર તો એવું બન્યું છે કે આઉટડોર શૂટિંગ માટે કોઈક મૉલ કે પછી બીજે ગયાં હોઈએ ત્યારે બધા ઓળખી જાય તો સેલ્ફી માટે પડાપડી કરે ને ભીડ ભેગી થઈ જાય. આ જ કારણે અમે ઘણીવાર શૂટિંગ કર્યા વગર જ ઘરભેગાં થઈ જઈએ અથવા તો બીજી જગ્યાએ જઈએ. સાચું કહું ને જો અમે આ વીડિયોના BTS નાખીએ તો તે વધારે ચાલે એમ છે.' 'કોમિક પર વધુ ફોકસ કરો'માહી નવા કન્ટેન્ટ ક્રિએટર્સને સલાહ આપતાં કહે છે, 'સૌથી પહેલાં તો એ છે કે તમે તમારી પોતાની આર્ટને જાણો. જે તમને ગમે છે તેને ઓળખો.જો તમારા બોલવાથી કે કોમિક એક્સપ્રેશનથી કોઈ હસી પડતું હોય તો મતલબ કે તમારામાં કોમેડીની આવડત છે. આવું હોય તો તમે કોમેડી ઝોન પર આવી શકો. ઈમોશનલ વીડિયો કે સારું રાઇટ હોય તો તમે ઇમોશનલ વીડિયો બનાવી શકો છો. આ ઉપરાંત આજકાલ ઘણા લોકો શાયરી કરતા હોય છે. આ બધું બધાને બહુ અટેચ કરે છે. આ ઉપરાંત ડાન્સિંગની ફિલ્ડમાં રસ હોય તો ત્યાં જઈ શકાય. સોશિયલ મીડિયાના માધ્યમથી નાનો બિઝનેસ પણ શરૂ કરી શકાય. સો. મીડિયામાં જ માર્કેટિંગ કરીને બિઝનેસ વધારી શકાય. બની શકે કે આમાં થોડો સમય લાગે પણ સતત કરો એટલે વાંધો નહીં આવે. હાલ તો સૌથી વધારે કોમિક વીડિયો ચાલે છે, કારણ કે અત્યારે બધાની લાઇફ ઘણી જ સ્ટ્રેસમાં છે. લોકો મૂવી જોવા ના પણ જાય, પરંતુ રીલ જોવાનું ક્યારેય ભૂલતા નથી. આ જ કારણે કોમિક પર વધારે ફોકસ કરશો તો જલ્દીથી વાઇરલ થવાશે.' 'હવે સો. મીડિયા અર્નિંગ બેઝ થવા લાગ્યું'માહી સો. મીડિયામાં આવેલાં પરિવર્તન અંગે જણાવે છે, 'અમે જ્યારે 2020માં શરૂ કર્યું ત્યારે લિપસિંકના (બીજાના ડાયલોગ કે સોંગ પર પોતાના હોઠ ફફડાવીને એક્ટિંગ કરવાના) વીડિયો ઘણા જ ચાલતા, પરંતુ હવે એવા વીડિયો ખાસ ચાલતા નથી. લિપસિંકના વીડિયોમાં વ્યક્તિ તરીકે તમારો ગ્રોથ પણ થતો નથી. મને પણ લાગ્યું કે મારામાં ટેલેન્ટ છે તો મારે કેમ લિપસિંકના વીડિયો બનાવવા જોઈએ. અત્યારે વ્યક્તિ પોતાની અંદર રહેલી આર્ટને વધુ બતાવે છે, પછી તે ડાન્સિંગ હોય કે કોમિક કે એજ્યુકેશન કે રિસર્ચ કે નોલેજ કે કંઈ પણ... આ બધું જ હવે પ્રોફેશનલી ને અર્નિંગ બેઝ પર થવા લાગ્યું છે. ' 'પતિએ ઘણો જ સપોર્ટ કર્યો'માહીના મતે, 'દર્શન પ્રોફેશનલી ને પર્સનલી બંને રીતે ઘણો જ સપોર્ટ કરે છે. જ્યારે લગ્ન કર્યાં ત્યારે બધા કહેતા કે લવમેરેજ પછી લાઇફ ઘણી જ બદલાઈ જાય છે, પરંતુ મારી લાઇફસ્ટાઇલમાં થોડો પણ ફેરફાર આવ્યો નથી અને તેનો શ્રેય દર્શનને જ જાય છે. દર્શન અમદાવાદમાં જ હોટેલ ચલાવે છે અને તે અત્યારે ઓટો મોડ પર છે અને અમે બંને હાલમાં સો. મીડિયા પર જ વધારે ફોકસ કરીએ છીએ.' 'પરિવાર સાથે હોય તે કરવું છે'ડ્રીમની વાત આવતાં જ માહી એકદમ હસી પડે છે અને કહે છે, 'પહેલાં તો મારે એક્ટિંગ ફિલ્ડમાં જવું હતું અને મેં વર્કશોપ પણ કરી હતી. વર્કશોપમાં મારી એક્ટિંગના ઘણાં જ વખાણ કરવામાં આવ્યાં હતાં. જોકે, પછી મને લાગ્યું કે કોઈ પણ ફિલ્મના શૂટિંગમાં જઈશ તો એકાદ-બે મહિના ઘરથી દૂર રહેવું પડે. મને હંમેશાં મારા બાળકનો પહેલા વિચાર આવે. પતિએ ક્યારેય કોઈ વાતમાં રોકટોક કરી નથી. તેમણે હંમેશાં જે કરવું હોય તે કરવાની વાત કરી છે અને મને તમામ રીતે સપોર્ટ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આપશે તે નક્કી છે. મને એવું છે કે હું જે પણ કરું તેમાં મારો પરિવાર સાથે હોય. જીવનમાં ક્યારે શું થશે તે નક્કી હોતું નથી એટલે જે પણ કરું તે સાથે કરું ને સાથે જીવીએ. મારા શોખ પણ સાથે કરું ને મારા ફેમિલી સાથે લઈને જ કરું. આ જ કારણે હું આ પ્લેટફોર્મ પર છું. મારો પરિવાર પણ વિખરાય નહીં ને મારી પોતાની ઈચ્છા પૂરી કરી શકું.' 'સમય મળે ત્યારે રીલ બનાવીએ''પહેલાં હું બહુ જ વીડિયો બનાવતી. પછી એવું નક્કી કર્યું કે વીકમાં એક દિવસ એવો રાખતા કે આખો દિવસ કપડાં બદલી બદલી ને રીલ્સ બનાવાની અને રોજ એક પોસ્ટ કરવાની. એટલા બધા વીડિયો બનાવી નાખ્યા છે કે હવે તો અમારી પાસે સ્ક્રિપ્ટ પણ સાવ ઓછી હોય તેમ લાગે. જેમ જેમ વિચાર આવે તેમ તમ રીલ બનાવીએ. હું ઇમોશનલ ટચ પર વધારે જાઉં ને મારા પતિ કોમેડી વીડિયો વધારે બનાવે. અમે કોઈક દિવસ બધાને હસાવી દઈએ તો ક્યારેક રડાવી પણ દેતા હોઈએ છીએ. ગમે ત્યારે વિચાર આવે એટલે રીલ બનાવીએ. એક દિવસની આટલી કે વીકની આટલી એ રીતે સંખ્યા નક્કી કરી નથી. કોઈ મેરેજમાં ગયા ને ત્યાં ઓબ્ઝર્વેશન કરીએ તો તેના પરથી રીલ્સ બનાવીએ. ઘણા લોકો રોજની એક રીલ્સ મૂકવાની એવું કરે છે પણ અમને તો ઈચ્છા થાય તેમ કરીએ. અમે ટ્રાય કરીએ પણ દીકરાને સાચવવાનો હોવાથી સમય મળે તો કરીએ.' 'સીએમ તો ડાઉન ટુ અર્થ છે'થોડા સમય પહેલાં જ માહી ધોરડો ટેન્ટ સિટીમાં ગઈ હતી અને ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનું થયું હતું. માહીએ કહ્યું, 'સીએમને મળીને લાગ્યું જ નહીં કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે. તેઓ ઘણા જ એટલે ઘણા જ ડાઉન ટુ અર્થ લાગ્યા. તેઓ ઘણી જ વિનમ્રતાથી વાત કરે છે.'
ગુજરાત સરકારે આખરે અપેક્ષા મુજબ સિનિયર IAS અધિકારીઓની સાગમટે બદલીઓ કરી દીધી છે.આ બદલીઓ સાથે જ ટીમ એમ.કે.દાસ બનાવવામાં આવી છે. તેમનો મુખ્ય સચિવ તરીકેનો ડિસેમ્બર-26 સુધીનો કાર્યકાળ છે. મનોજ કુમાર દાસ સરકાર અને PM મોદીના વિશ્વાસુ હોવાની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોડી બનાવીને કામ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, તેઓ કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન કરવામાં માહેર છે. એક સમયે જે રીતે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને કે.કે.(કુનિયલ કૈલાસનાથન)ની જોડી હતી એ જ રીતે હવે ભૂપેન્દ્ર પટેલ અને એમ.કે.દાસની પેર બની ગઈ છે. આમ એમ.કે હવે બીજા કે.કે. બનવા તરફ જઈ રહ્યા છે. 26 સિનિયર IASની થયેલી આ બદલીઓમાં કેટલાય નામો અને જે જગ્યાએ બદલી થઈ તેને લઈને પણ જબરજસ્ત ચર્ચા અને આશ્ચર્ય ફેલાયું છે. જો કે, એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, સરકાર સારું કામ કરનારા અધિકારીઓની કદર તો કરે જ છે. તેની સાથો સાથ સરકારનું કહ્યું નહી કરનારા એટેલે કે હાજી...હા...નહીં કરનારા અધિકારીઓને સાઈડ પોસ્ટીંગ આપવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. જાન્યુઆરીમાં પાંચ પ્રિન્સિપલ સેક્રેટરીઓના તેમજ અમુક સેક્રેટરીઓના પ્રમોશનો આવવાના હોય હજુ વધુ બદલીઓ થવાની પૂરી શક્યતા છે. આ પણ વાંચો: મંત્રીમંડળ બાદ બ્યૂરોક્રેસીમાં મોટો ઊલટફેર, 26 સિનિ. IASની બદલી CMOમાંથી અવંતિકાસિંઘની એક્ઝિટ,સંજીવકુમારની એન્ટ્રીએ ચોંકાવ્યાબે ડઝનથી વધુ IAS અધિકારીઓની બદલીમાં સૌથી વધુ આશ્ચર્ય અને આંચકો આપે તેવા બે નામ છે. જેમાં સીએમઓમાં વર્ચસ્વ ધરાવતા અવંતિકાસિંઘ મુખ્ય છે. કારણ કે તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી ન હોવા છતાં તેમને ખાસ કેસમાં પ્રમોશન આપીને મુખ્યમંત્રીના અગ્ર સચિવ બનાવાયા હતા. જ્યારે બીજું આશ્ચર્ય સંજીવકુમારનું છે. તેમને સીએમના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે. આ ઉપરાંત ગૃહનો મહત્વનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. તેમનાથી સિનિયર અધિકારી હોવા છતા તેમને હોમ અપાતા ગણગણાટ પણ શરુ થયો છે. રાજેન્દ્ર્કુમારને ટુરીઝમમા પ્રેઝન્ટેશનનો 70-30નો રેશિયો નડી ગયો…ટુરીઝમના સેક્રેટરી પદેથી રાજેન્દ્રકુમારની બદલી કરી દેવાઈ છે. જેને લઈને સચિવાલયમાં એવી ચર્ચા છે કે, છેલ્લા કેટલાક સમયથી ટુરીઝમના કેટલાક ટેન્ડરમાં પ્રેઝન્ટેશનમાં 70-30,60-40નો રેશિયો રખાતો હતો. એટલે કે વધુ ભાવ ભરનારી એજન્સીઓને પ્રેઝન્ટેશનમાં વધુ માર્કસ આપીને ટેન્ડર અપાતા હતા. આ સંદર્ભમાં ફરિયાદ અને આરટીઆઈ પણ ચાલી રહી છે. અશ્વિનીકુમાર-વિક્રાંત પાંડેની કદર કરી વધુ જવાબદારી સોંપાઈસ્પોર્ટસ સેક્રેટરી તરીકે અશ્વિનીકુમારનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. ખાસ કરીને દેશને કોમનવેલ્થની યજમાની અપાવવામાં તેઓએ સ્પોર્ટસ મંત્રી સાથે ટીમને લીડ કરીને સફળતા અપાવી છે. આથી સરકારે તેમને એનર્જી અને પેટ્રોકેમિકલ જેવું ખૂબ જ મહત્વનું ડિપાર્ટમેન્ટ સોંપી દીધુ છે. આજ રીતે થોડા સમય પહેલા જ સીએમઓમાં સેક્રેટરી તરીકે મુકાયેલા વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે મુકાયા છે. તેમજ માહીતી ખાતાનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. સૌથી સિનિયર અરૂણકુમાર-આરસી મીણાની હાલત જૈસે થેહાલમાં મુખ્ય સચિવ પછી સૌથી સિનિયર ગણાતા અરૂણકુમાર સોલંકીને ફરીથી સાઈડ પોસ્ટિંગમાં મુકાયા છે. તેમને એગ્રીકલ્ચર અને ફાર્મર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટની જવાબદારી સોંપાઈ છે. ખરેખર તો હોમ ડિપાર્ટમેન્ટમાં તેમની નિમણૂંક થવી જોઈએ એવુ બ્યુરોક્રેટસમાં સૌ કોઈ માની રહ્યા છે. ડેપ્યટેશન પરથી આવી CMOમાં ગોઠવાયાતાજેતરમાં જ દીલ્હીથી ડેપ્યુટેશન પરથી ગુજરાતમાં પરત ફરેલા અજયકુમારને સીધા જ સીએમઓમાં સેક્રેટરી તરીકે મુકી દેવાયા છે. આ અગાઉ વિક્રાંત પાંડેની પણ આ જ રીતે નિયુક્તિ થઈ હતી. દીલ્હીમાં તેઓએ સારું કામ કરવાની સાથે વડાપ્રધાનના વિશ્વાસુ હોવાથી તેમને સીએમઓમાં મુકાયા છે. હારિત શુક્લાને SIRની કામગીરી ફળીભૂતકાળમાં ટુરીઝમ સહીતના અનેક ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા પ્રિન્સિપલ સેક્રેટરી હારિત શુક્લાને છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાતના ચૂંટણી કમિશનર બનાવીને સાઈડલાઈન કરાયા છે. જો કે, સરની કામગીરી ખૂબ જ સફળતાથી અને ઝડપથી કરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. ખાસ કોઈ મોટો વિવાદ પણ થયો નથી. આખરે સરકારે આ અધિકારીને પોર્ટ જેવી મહત્વની પોસ્ટની વધારાની જવાબદારી સોંપી છે. જ્યારે કુલદીપ આર્યનને પણ ટુરીઝમમા મુકીને તેમની કદર કરાઈ હોવાની ચર્ચા છે. આ અધિકારીઓ ફરીથી સાઈડલાઈન છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમાર અને ધનંજય દ્વીવેદીને સાઈડલાઈન જ કરાતા આવ્યા છે. જો કે, ઘણો લાંબો સમય પછી સરકારે બે વર્ષ પહેલા ધનંજય દ્વીવેદીને હેલ્થ જેવું મહત્વનુ ખાતું આપ્યું હતુ. જ્યારે હવે તેમને ફરીથી પંચાયત જેવું ખાતું સોંપી ફરીથી સાઈડલાઈન કરી દેવાયા છે. તેમણે હેલ્થમાં ઘણી જ મહત્વની કામગરી કરી હતી. પરંતુ કેટલાક ટેન્ડરોમાં તેઓએ મંત્રીને મચક આપી નહોતી. તેઓ ખોટુ કામ ચલાવી લેવામાં માનતા નથી. આવી જ હાલત મુકેશ કુમારની છે. તેઓને અગાઉ હાયર એજ્યુકેશનમાંથી બદલીને પ્રાઈમરી એજ્યુકેશનમા મુકાયા હતા. સુનયના તોમરની બદલી થયા બાદ તેમનો હાયર એજ્યુકેશનનો વધારાનો હવાલો પણ મુકેશ કુમાર પાસે જ હતો. હવે ફરીથી તેમને હાયર એજ્યુકેશનનો રેગ્યુલર ચાર્જ સોંપી દેવાયો છે. એવી ચર્ચા છે કે, આ બન્ને અધિકારીઓ સીધી લીટીમાં ચાલનારા છે. તેઓ કોઈ મંત્રી કે તેનાથી સિનિયર અધિકારીઓનું પણ ખોટું ચલાવતા નથી. આમ બન્નેને માથાભારેની છાપ નડી રહી છે. મનોજ કુમાર દાસ (એમ.કે. દાસ) કોણ છે? મનોજ કુમાર દાસ, જેને એમ.કે. દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS (ભારતીય વહીવટી સેવા) અધિકારી છે. તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગામાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી મેળવી છે. તેઓ હાલમાં ગુજરાત સરકારમાં અડિશનલ ચીફ સેક્રેટરી, હોમ વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ 20 ડિસેમ્બર 2026ના રોજ નિવૃત્ત થશે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પાછા ફર્યા એકમાત્ર અધિકારી છે, જે બે દાયકામાં પહેલી વખત થયું છે. કોણ છે કૈલાસનાથન?કે.કૈલાસનાથને 1981માં સહાયક કલેક્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1985માં સુરેન્દ્રનગર અને 1987માં સુરતના કલેક્ટર હતા. જ્યારે 1999થી 2001 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ હતા. બીઆરટીએસ પ્રોજેક્ટની સ્ટીયરિંગ કમિટીના ચેરમેન તરીકે તેમની કારકિર્દીનું બીજું મહત્ત્વનું પોસ્ટિંગ હતું. કે.કે.તરીકે પ્રખ્યાત કે. કૈલાસનાથનું પૂરું નામ કુનિયલ કૈલાસનાથન છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં એમ.એસ.સી.અને યુનિવર્સિટી ઓફ વેલ્સમાંથી અર્થશાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવી છે. પીએમ મોદીના નજીકના અધિકારી ગણાતા કે કૈલાસનાથનની પાવરફુલ અધિકારી તરીકે ગણના થતી હતી. કે.કે.તરીકે જાણીતા કૈલાસનાથન ચાર મુખ્યમંત્રી સાથે કામ કર્યું હતું. તેઓ 2006થી 2024 મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન ગુજરાતના ચાર મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સાથે કામ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, તેમને ઇતિહાસમાં સૌથી વધુ 11 વખત એક્સટેન્શન મળ્યું હતું.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે વાંચ્યું કે જાન્યુઆરી, 2013માં સુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રાઇમ થ્રિલર જેવી ઘટના બની હતી. 19 વર્ષનો કમલેશ તેલી હોસ્પિટલ જવાનું કહીને પિતાની કરિયાણાની દુકાનેથી નીકળ્યો. ત્યારે કોઈને અંદાજ નહોતો કે તેનું ધોળા દિવસે અપહરણ થઈ જશે. બપોરના સમયે કમલેશનો મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયો. કુટુંબીજનો અને મિત્રોએ શોધખોળ કરી પણ કમલેશ ન મળ્યો. કલાકો બાદ કમલેશના મોબાઇલથી જ તેના પિતા પર કિડનેપરનો ફોન આવ્યો અને 10 લાખ રૂપિયાની ખંડણી માગી. ત્યારે પિતાના પગ તળેથી જાણેકે જમીન ખસી ગઈ. કિડનેપરે બીજા દિવસે ખંડણીની રકમ વધારીને 15 લાખ રૂપિયા કરી દીધી. પછી એવું પણ કહ્યું કે કમલેશ મુંબઈમાં છે. પિતાએ ખૂબ આજીજી કરી છતાં કિડનેપરે દીકરા સાથે ફોન પર વાત ન કરાવી. જગદીશચંદ્ર પોલીસને સાથે રાખીને ખંડણીના રૂપિયા આપવા માટે એક વખત નીકળ્યા પણ ખરા. પરંતુ કિડનેપરને અંદાજો આવી ગયો અને પોલીસનું આખું ઓપરેશન નિષ્ફળ નિવડ્યું. રાતના સમયે ફરી એકવાર કિડનેપરનો ફોન આવ્યો અને ભેસ્તાન ચોકડી પાસે રૂપિયા લઈને આવવા કહ્યું. જો કે આશ્ચર્યજનક રીતે પોલીસે જગદીશચંદ્રને રૂપિયા લઈને જવાની ના પાડી. (પાર્ટ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો.) પોલીસે કિડનેપરને રૂપિયા આપવાના નામે રાત્રે ટ્રેપ ગોઠવવાનું કેમ ટાળ્યું?કિડનેપરે એકપણ વખત કેમ કમલેશ અને તેના પિતાની ફોન પર વાત ન કરાવી?છેલ્લા ફોનમાં કિડનેપરે કમલેશ મુંબઈમાં હોવાનું કહ્યું. શું આ કેસમાં કોઈ મોટી ગેંગ સામેલ હતી?સામાન્ય પરિવારના 10 વર્ષના દીકરાનું અપહરણ માત્ર રૂપિયા માટે જ કરવામાં આવ્યું કે પછી બીજું જ કોઈ ષડયંત્ર હતું? આ સવાલોનો જવાબ જાણવા માટે વાંચો આગળનું ઇન્વેસ્ટિગેશન… એક તરફ પોલીસ અને જગદીશચંદ્ર તેમના દીકરા કમલેશની શોધખોળ કરી રહ્યા હતા. એ જ અરસામાં બીજી એક ગંભીર ઘટના બની. તારીખ: 21 જાન્યુઆરી, 2013બપોરના 12:30નો સમયબમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પંપ ગંદા પાણીને ચોખ્ખુ કરવા માટે હંમેશની માફક ગગડી રહ્યા હતા. પ્લાન્ટના કર્મચારી કલ્પેશભાઈ પટેલની નજર અચાનક પંપ હાઉસના 'રો સુએઝ' સેક્શનમાં પડી. ગંદા પાણીના પ્રવાહમાં કંઈક અજબ વસ્તુ તણાઈને આવી હતી. ધ્યાનથી જોયું તો ‘વિમલ’ લખેલો એક મોટો થેલો હતો. ચારે બાજુથી પેક કરેલો અને અંદર કંઈક વસ્તુ હોય એમ લાગતું હતું. આમ તો ગટરમાંથી ઘણી વસ્તુઓ તણાઈની આવતી હોય પણ કલ્પેશભાઈને આ થેલોમાં કંઈક ભેદી વસ્તુ હોવાનો અંદાજો આવી ગયો. તેમણે તુરંત ઇન્ચાર્જ ચારુલભાઈ પટેલને ફોન કર્યો. ચારુલભાઈ જે તે સમયે બીજા એક પ્લાન્ટની વિઝિટ માટે ગયા હતા. કલ્પેશભાઈની વાત સાંભળતા જ તેઓ તાત્કાલિક બમરોલી પ્લાન્ટ પર આવી ગયા. પ્લાન્ટ પર કામ કરતા તમામ કર્મચારીઓમાં એક જ ચર્ચા હતી કે થેલામાં શું હોઈ શકે છે? અંતે પ્લાન્ટના ઇન્ચાર્જ ચારૂલભાઈએ પાંડેસરા પોલીસને જાણ કરી અને થોડી જ વારમાં પોલીસ અધિકારીઓ પ્લાન્ટ પર આવી પહોંચ્યા. લોખંડની જાળીમાંથી નીચે જોતા સ્પષ્ટ દેખાતું હતું કે ગંદા પાણીની સપાટી પર થેલો કોઈ ભારે વસ્તુને કારણે અડધો ડૂબેલો અને અડધો તરતો હતો. પ્લાન્ટ પર કામ કરતા હેલ્પર મગનભાઈ પરમાર ટાંકીમાં ઉતર્યા અને સાવચેતીથી થેલો પાણીની ટાંકીમાંથી બહાર કાઢ્યો. થેલો ખૂબ જ વજનદાર હતો. પાણીમાંથી બહાર કાઢતા જ થેલામાંથી અસહ્ય ગંદી વાસ ફેલાઈ ગઈ. ગંધ એટલી તીવ્ર હતી કે ત્યાં ઉભેલા લોકોએ મોઢા પર રૂમાલ દબાવી દીધા. થેલાના વજન અને દેખાવ પરથી કંઈક અઘટિત બન્યાનું લાગતું હતું. પોલીસ અધિકારીએ મગનભાઈને સૂચના આપી,આ થેલાની ચેઈન ખોલો જેવી ચેઈન ખૂલી, સૌના હોશ ઉડી ગયા. થેલાની અંદર ભૂરા કલરના પ્લાસ્ટિકમાં કંઈક વીંટાળેલું હતું. એ પ્લાસ્ટિક ખોલતા અંદર સિમેન્ટની સફેદ રંગની થેલી હતી જેને સીવી લેવામાં આવી હતી. થેલીને જ્યારે ફાડવામાં આવી ત્યારે જે દ્રશ્ય સામે આવ્યું તેણે અનુભવી પોલીસ અધિકારીઓને પણ હચમચાવી દીધા.થેલામાં માનવ અંગોના કટકા હતા. કોઈ અજાણ્યા પુરુષની લાશનો કમરથી નીચેનો ભાગ અને બંને પગના ઘૂંટણથી ઉપરના ભાગ સુધીના અંગ હતા. કોઈ તીક્ષ્ણ હથિયારથી શરીરને કસાઈની માફક કાપવામાં આવ્યું હતું. પાણીમાં આ અંગો પલળી જવાના કારણે ચામડી સફેદ થઈ ગઈ હતી અને ફૂલી ગયા હતા. હજુ પોલીસ આ ભયાનકતાને સમજે અને કાગળ પરની કાર્યવાહી પૂરી કરે એ પહેલાં જ વધુ એક આંચકાજનક દૃશ્ય સામે આવ્યું. નજર બીજો એક થેલો પાણીમાં તરતો દેખાયો. પરંતુ પ્લાન્ટમાં લાઈટ ન હોવાથી પાણીનું સર્ક્યુલેશન ધીમું હતું, એટલે એ થેલો પંપહાઉસ સુધી પહોંચ્યો ન હતો. જેથી થોડી રાહ જોવી પડી. સાંજના સાડા છ વાગ્યે લાઇટ આવી અને પ્લાન્ટ શરૂ થયો ત્યારે બીજો થેલો પણ તણાઈને નજીક આવી ગયો. આ વખતે ફાયરબ્રિગેડની ટીમ પણ હાજર હતી. તેમની મદદથી બીજો થેલો બહાર કાઢવામાં આવ્યો. ગટરના પાણીમાંથી મળેલા બીજા થેલાની પેકિંગ પદ્ધતિ પણ બપોરે મળેલા થેલા જેવી જ હતી. ભૂરું પ્લાસ્ટિક અને અંદર સિમેન્ટની સફેદ થેલી. જ્યારે બીજો થેલો ખોલવામાં આવ્યો ત્યારે ક્રૂરતાની સીમા વટાવી દે તેવી હકીકત જોવા મળી. એમાં પુરુષનું ગળાથી કમર સુધીનો ભાગ હતો. પણ માથુ અને બન્ને હાથ એકેય થેલામાં ન હતા. શરીરના ટુકડા એવી રીતે કરવામાં આવ્યા હતા કે લાશની ઓળખ ન થઈ શકે. અનુભવી પોલીસ અધિકારીઓ સમજી ગયા કે આ વેલ પ્લાન્ડ મર્ડર છે. હત્યારાએ જરા પણ માનવતા દાખવ્યા વગર પુરાવાનો નાશ કરવા અને લાશની ઓળખ છુપાવવા માટે શરીરના અલગ-અલગ ટુકડા કર્યા અને તેને સુરતની મેઈન ગટર લાઈનમાં વહાવી દીધા હતા. એક તરફ 19 વર્ષના યુવકનું અપહરણ થયું હતું અને 15 લાખની ખંડણી માગવામાં આવી રહી હતી. બીજી તરફ ગટરમાંથી અજાણ્યા પુરુષની લાશના ટુકડા મળ્યા, માથું ગુમ હતું. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યા અને પુરાવાનો નાશ કરવાનો અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાયો. હવે સૌથી મોટો સવાલ એ હતો શું આ કમલેશની લાશના ટુકડા છે? કઈ જગ્યાએથી માનવ અંગો ભરેલો થેલો ફેંકવામાં આવ્યો? પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા પુરુષની લાશ મળી હોવાની માહિતી સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નિયમ પ્રમાણે પહોંચડવામાં આવી. જેવી આ વિગતો સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળી તેઓ સચેત થઈ ગયા. તરત જ વધુ માહિતી માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો. માત્ર જોઈને જ મૃતદેહની ઓળખ થાય એમ તો ન હતી. એટલે સ્થિતિની ગંભીરતા સમજીને આ ઘટનાની જાણ કમલેશના પિતા જગદીશચંદ્ર તેલીને કરવામાં આવી. પોલીસકર્મીએ કહ્યું, “જગદીશભાઈ બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બે થેલા મળ્યા છે અને બન્નેમાં લાશના કટકા છે. માથું હજુ સુધી મળ્યું નથી. અમે તમારી હાલત સમજીએ છીએ. પણ તમારે DNA ટેસ્ટ માટે સેમ્પલ આપવું પડશે.” આટલું સાંભળતા જ જગદીશચંદ્રની આંખો ભીંજાઈ ગઈ. કારણ કે થોડા કલાકો પહેલાં જ કિડનેપરના ફોન આવતા હતા. તેણે 15 લાખ રૂપિયા માગ્યા હતા, જગદીશભાઈ રૂપિયા આપવા માટે તૈયાર પણ હતા, છતાં તેણે કમલેશ સાથે વાત કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો. એટલે દીકરા સાથે કંઈક અઘટિત બની ગયું હોવાનો અણસાર તો મનમાં હતો. જગદીશચંદ્ર DNA રિપોર્ટ કઢાવવા માટે સેમ્પલ આપવા ભારે હૈયે સહમત થયા. જો કે પોલીસ માત્ર DNA રિપોર્ટની રાહ જોઈને બેઠી ન રહી. સચિન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. બી.એમ.પરમારની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેમને વર્ષોના અનુભવથી સમજાઈ ગયું હતું કે આ કોઈ કોન્ટ્રેક્ટ કિલર ગેંગ નથી પણ કોઈ એવી ટોળકી છે જેમને કમલેશના પરિવારની આર્થિક સ્થિતિ અને રહેણી-કહેણીનો અંદાજો હતો. એમાં પણ બે સંભાવના હતી. ગુનેગાર સ્થાનિક હોઈ શકે અથવા પરપ્રાંતિય પણ હોય. ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેજ કર્યું. કમલેશના મોબાઈલનું લોકેશન પાંડેસરા અને ભેસ્તાન આસપાસ જ હોવાનું માલુમ પડ્યું. હજારો કોલ ડિટેઈલ્સ રેકોર્ડ એટલે કે CDR તપાસ્યા પછી પોલીસનું ધ્યાન એક નામ પર અટક્યું… ઉમેશ રામનાથપ્રસાદ કાનુ. ઉમેશ પોલીસની રડાર પર હતો. પોલીસે તેની આખી કુંડળી કઢાવી લીધી. મૂળ બિહારનો આ શખસ પાંડેસરામાં સરકારે બનાવેલા EWS આવાસમાં રહેતો હતો. તેની ઓળખ ત્યાંના ગુંડા તરીકે જ થતી હતી. 27 જાન્યુઆરી, 2013ના રોજ પોલીસ તેના ઘરની નજીક પહોંચી. પણ અચાનક ઘરની અંદર ધસી જવામાં જોખમ એ હતું કે બની શકે ઉમેશ હોય જ નહીં અને પછી છટકી જાય તો ક્યારેય હાથમાં ન આવે. એટલે પોલીસે રેડ કરતા પહેલાં એક રણનીતિ બનાવી. પોલીસને ત્યાં રહેતી એક મહિલાની ગતિવિધિ પર પણ શંકા હતી. એટલે એ મહિલાની પૂછપરછ કરી. આ દરમિયાન તેને એક યુવકનો ફોટો બતાવ્યો. પણ મહિલાએ કહ્યું, “હું આને ઓળખતી નથી.” હવે પોલીસે મહિલાના મોબાઇલની જડતી લીધી. ત્યારે કોલ લિસ્ટમાંથી એક નંબર મળ્યો. પોલીસે પૂછ્યું, “આ નંબર કોનો છે?” મહિલાએ કહ્યું, “અમારી બિલ્ડિંગના ત્રીજા માળે બિહારનો એક યુવક રહે છે. તેણે મને હમણાં ફોન કર્યો હતો?” “કેમ ફોન કર્યો હતો?”, પોલીસે વળતો સવાલ કર્યો. મહિલાએ જવાબ આપ્યો, “એણે મને બોલાવી હતી.” પોલીસે મહિલાને આદેશ આપ્યો, “તું ઉમેશને ફોન લગાવ અને પૂછ કે તે અત્યારે ક્યાં છે?” મહિલા હવે હેબતાઈ ગઈ હતી. તેને ખ્યાલ નહોતો આવી રહ્યો કે તેની સાથે આ શું બની રહ્યું છે. પણ પોલીસની વાત માન્યા વગર છૂટકો ન હતો. સામે સવાલ પણ નહોતી કરી શકતી કે મામલો શું છે. પોલીસને કહેવા પ્રમાણે તેણે ઉમેશને ફોન કર્યો. ઉમેશે તરત જ ફોન ઉપાડી લીધો. પોલીસકર્મીએ ઇશારામાં મહિલાને જણાવી દીધું કે અમે તારી સાથે છીએ આ વાતનો અણસાર ઉમેશને આવવો ન જોઈએ. મહિલાએ ઉમેશને પૂછ્યું?, “તું ક્યાં છે?” સામેથી જવાબ આવ્યો, “હું બીજે ક્યાં હોઉં.. રૂમ પર જ છું.” “એ સારું, હું આવું છું.”, આટલું કહીને મહિલાએ ફોન કાપી નાખ્યો. પોલીસની ટીમે ઉમેશ રહેતો હતો એ બિલ્ડિંગને ઘેરી લીધી હતી. ફોન કટ થતાં જ પોલીસે તાત્કાલીક બનાવેલી રણનીતિ પ્રમાણે મહિલાને આગળ કરી અને પછી ભરી બંદૂકે એકદમ એલર્ટ થઈને પોલીસકર્મીઓ પાછળ-પાછળ દબાતા પગલે પગથિયાં ચડવા લાગ્યા. ત્રીજા માળે મહિલાએ ઉમેશના ઘરનો દરવાજો ખટખટાવ્યો અને એ જ ક્ષણે પોલીસ અધિકારીએ મહિલાને પાછી ખસી જવા માટે ઇશારો કર્યો. ઘરના ઉંંબરે મહિલા ઉભી હશે એ વિચારીને ઉમેશે દરવાજો ખોલ્યો પણ સામે સુરત પોલીસના દર્શન થઈ ગયા. થોડીવાર માટે તો ઉમેશ સુન્ન થઈ ગયો. “શું થયું સાહેબ?”, ઉમેશે ધ્રૂજતા હોઠે સવાલ કર્યો. પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, “એ બધુ પોલીસ સ્ટેશન જઈને. હમણાં અમારી સાથે ચાલ.” એક જ ક્ષણમાં ઉમેશના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેને લાગ્યું કે હવે આવી બન્યું છે. ભાગવાનો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પોલીસકર્મીએ તેની બોચી ઝાલી લીધી અને હાથકડી પહેરાવી ત્રીજા માળેથી નીચે લાવીને જીપમાં નાખી દીધો. ગણતરીની મિનિટોમાં આરોપી હાથ તો લાગી ગયો પણ હજુ સુધી ઘણા સવાલોના જવાબ મળવાના બાકી હતા. સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેઠેલા ઉમેશની કબૂલાતે પોલીસના પણ હોશ ઉડાવી દીધા હતા. ગુનાની શરૂઆત કોઈ દુશ્મનીથી નહીં, પણ જગદીશચંદ્રની એક વાત સાંભળવાથી થઈ હતી. થોડા દિવસો પહેલા ઉમેશ જગદીશચંદ્રની કરિયાણાની દુકાને સામાન લેવા ગયો હતો. ત્યાં તેણે જગદીશચંદ્રને કોઈ વ્યક્તિ સાથે વાત કરતા સાંભળ્યા કે અમે હમણાં જ પાંડેસરાનું મકાન 14 લાખ રૂપિયામાં વેચ્યું છે અને આ નવી દુકાન ખરીદી છે. બસ, આ એક વાક્ય ઉમેશના મગજમાં ઝેરની માફક પ્રસરી ગયું. તેને લાગ્યું કે જે માણસ પાસે 14 લાખ રોકડા હોય, તેનો દીકરો ઉઠાવીએ તો 10 લાખ રૂપિયા આરામથી મળે. આટલી વાત મગજમાં આવ્યા બાદ ઉમેશે તેના મિત્ર રાકેશને પણ પોતાને ષડયંત્રમાં શામેલ કરી લીધો. ઉમેશનો સાથીદાર રાકેશ પોલીસને થાપ આપીને પોતાના વતન બિહાર ભાગી છૂટ્યો હતો. સચિન પોલીસની એક ટીમ બિહાર પહોંચી અને 30 જાન્યુઆરીના રોજ તેને દબોચી લીધો. રાકેશને સુરત લાવવામાં આવ્યો ત્યારે તેની પાસેથી વધુ વિગતો મળી. આ બન્ને લોકો કમલેશના નિત્યક્રમ પર વોચ રાખવા લાગ્યા. કમલેશ સવારથી માંડીને સાંજ સુધી ક્યાં જાય છે, કોને મળે છે, તેની બેઠક ક્યાં છે આ બધુ જ ગણતરીના દિવસોમાં ઉમેશ અને રાકેશે જાણી લીધું. તેમને ખબર હતી કે કમલેશ દરરોજ ફિઝિયોથેરાપી માટે જાય છે. આ જ સમય તેમને અપહરણ માટેનો યોગ્ય લાગ્યો. 18મી જાન્યુઆરી 2013ના રોજ કમલેશ દરરોજની જેમ દુકાનેથી હોસ્પિટલ જઈ રહ્યો હતો. એ દરમિયાન રસ્તામાં જ કમલેશને આંતરી લીધો. ત્યાર બાદ તેને ધમકી આપી અને ઉમેશના EWS આવાસ પર લઈ ગયા હતા. પરંતુ, 19 વર્ષના હટ્ટાકટ્ટા યુવાનને લાંબો સમય ગોંધી રાખવો ઉમેશ અને રાકેશને જોખમી લાગ્યું. જો તે બૂમાબૂમ કરે તો પડોશીઓને ખબર પડી જાય અને ભાંડો ફૂટી જવાની સંભાવના હતી. એટલે ખંડણીનો ફોન કરતા પહેલાં જ આ નરાધમોએ કમલેશને ગળે ટૂંપો આપીને જીવ લઈ લીધો હતો. 27 જાન્યુઆરીના રોજ પોલીસે છાપો મારી ઉમેશને તેના ઘરેથી દબોચી લીધો. ત્યારે જડતી લેતા ઉમેશના ખિસ્સામાંથી જે મળ્યું તે જોઈને પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. કમલેશનું સીમકાર્ડ ઉમેશ પાસે હતું. સાથે જ લાકડા વેરવાનું મશીન એટલે કે વૂડ કટરનું બિલ મળ્યું હતું. એટલે 1730 રૂપિયા આપીને તેણે વૂડ કટર ખરીદ્યું હતું. પૂછપરછ કરી રહેલા પોલીસકર્મીઓને અંદાજો તો આવી જ ગયો હતો. પરંતુ તેઓ ઉમેશના મોઢેથી હકીકત જાણવા માગતા હતા. એટલે તેને સવાલ કરવામાં આવ્યો, લાકડા વેરવાનું મશીન કેમ ખરીદ્યું હતું? ઉમેશે પોલીસ સામે કરેલી કબૂલાત પ્રમાણે, ગળે ટૂંપો આપી દીધા બાદ પણ તેણે ખંડણીની માગ ચાલુ રાખી હતી. આ સાથે જ લાશનો નિકાલ કેવી રીતે કરવો? ઓળખ કેવી રીતે છુપાવવી? એ દિશામાં પણ પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. આ માટે જ ઉમેશે 1730 રૂપિયાનું વૂડ કટર ખરીદ્યું હતું. તેણે કમલેશના શરીરના વૂડ કટર વડે સાત ટુકડા કર્યા હતા. પી.આઈ. પરમારની પૂછપરછમાં ઉમેશે જે કબૂલાત કરી તે સાંભળીને સૌના રુંવાડાં ઉભા થઈ ગયા. ઉમેશે જણાવ્યું, સાહેબ, મેં ટીવી સીરિયલમાં જોયું હતું કે એક હત્યારાએ લાશના ટુકડા કરીને ફ્રિજમાં સંતાડી દીધા હતા ઉમેશે કોઈ ગર્વ લેતો હોય એમ કહ્યું, પણ મને લાગ્યું કે ફ્રિજમાં રાખવાથી પકડાઈ જવાય. એટલે મેં વિચાર્યું કે જો લાશના ટુકડા કરી ગટરમાં વહાવી દઉં તો પુરાવા ક્યારેય મળશે જ નહીં અને કોઈને ખબર પણ નહીં પડે. માનવતાને શરમાવે તેવી રીતે બન્ને હત્યારાઓએ શરીરના અંગોને અલગ-અલગ કરી, સફેદ ગુણીઓમાં પેક કર્યા અને પછી પાંડેસરાની મેઈન ગટર લાઈનમાં ફેંકી દીધા. આ કેસમાં જે મહિલાને ઉમેશે ફોન કર્યો હતો તેણે કોર્ટમાં આપેલા નિવેદનના કારણે પણ કેસ મજબૂત બન્યો. મહિલાએ કોર્ટમાં જણાવ્યું, 18 જાન્યુઆરી, 2013ના રોજ સવારે હું ઓટલા પર ઉભી હતી. મેં જોયું કે ઉમેશ અને તેનો મિત્ર રૂમમાંથી નીચે ઉતર્યા. ઉમેશના હાથમાં ‘વિમલ’ લખેલો એક મોટો અને વજનદાર થેલો હતો. તે એટલો ભારે હતો કે ઉમેશે તેને બંને હાથે ઉંચકવો પડતો હતો. તેનો મિત્ર બાઇક ચાલુ કરીને ઉભો હતો. ઉમેશ એ થેલો લઈને બાઈક પર બેઠો અને તેઓ નીકળી ગયા. તે દિવસે સાંજે ઉમેશ ફરી દેખાયો હતો, જાણે કંઈ બન્યું જ ન હોય તેમ હાથમાં દૂધની થેલી લઈને તે શાંતિથી પોતાની રૂમ પર જઈ રહ્યો હતો. જે ટુકડા બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મળ્યા હતા તે કમલેશના જ હોવાનું DNA રિપોર્ટના આધારે પણ સાબિત થઈ ચૂક્યું હતું. ગટરમાં વહેતા-વહેતા એ અંગો દૂંડી ગામ સુધી પહોંચ્યા હતા. હત્યારાઓએ વિચાર્યું હતું કે ગંદકીમાં લાશ ઓગળી જશે પણ કરવતના એક બિલે આખા મર્ડરનો ભાંડો ફોડી દીધો. જે દીકરાને જગદીશચંદ્રએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, તેના હાથ-પગ હવે થેલામાં મળી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય તેમ હતું. પોલીસ હવે આ બંને રાક્ષસોને કડક સજા અપાવવા માટે કમર કસી રહી હતી. જ્યારે પાંડેસરાના લોકોને ખબર પડી કે જગદીશચંદ્રનો પાડોશી જ કમલેશનો હત્યારો છે, ત્યારે આખા વિસ્તારમાં આક્રોશની જ્વાળા ફાટી નીકળી. આ નરાધમને જાહેરમાં ફાંસી આપો લોકમુખે માત્ર આ જ માગ હતી. લોકોનો રોષ જોઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. જગદીશચંદ્ર તૈલીએ જ્યારે કોર્ટમાં જુબાની આપી ત્યારે આખું કોર્ટરૂમ સ્તબ્ધ થઈ ગયું હતું. એક પિતા માટે પોતાના સંતાનની અંતિમવિધિ એ જીવનનું સૌથી મોટું દુઃખ હોય છે પણ જગદીશચંદ્રની કિસ્મત તો એથીય વધુ ક્રૂર હતી. કોર્ટમાં તેમણે કહ્યું, સાહેબ… મારે મારા દીકરાની અંતિમક્રિયા બે વાર કરવી પડી. પહેલીવાર જ્યારે પોલીસને ગટરમાંથી ટુકડા મળ્યા ત્યારે મને માત્ર તેનું ધડ અને પગના અડધા ભાગ મળ્યા હતા. અમે ભારે હૈયે એ અડધા શરીરને અગ્નિદાહ આપ્યો. તેના થોડા દિવસો પછી બીજો આરોપી પકડાયો અને તેની નિશાનદેહી પરથી બીજા થેલા મળ્યા, જેમાં કમલેશના બીજા અંગો હતા. મારે ફરીથી સ્મશાન જવું પડ્યું. તેમણે આગળ કહ્યું,, પણ સાહેબ… કમલેશનું માથું મને આજ દિન સુધી મળ્યું નથી. એ ટુકડા કમલેશના જ હતા એની ઓળખ તો તેના શરીર પરના અંડરવેર, તેના હાથના કાળા દોરા અને DNA રિપોર્ટથી થઈ હતી. હજુ આ કેસમાં એક મોટો વળાંક આવવાનો બાકી હતો… કમલેશની હત્યાનો આ કેસ સુરતની કોર્ટમાં ઘણા સમય સુધી ચાલી રહ્યો હતો. સમયાંતરે કોર્ટમાં સુનાવણી થતી હતી. ઠંડા કલેજે થયેલી આ હત્યાના કેસમાં ઉમેશ અને રાકેશ સુરતની લાજપોર જેલમાં કેદ હતા. 30 જાન્યુઆરી 2015ના રોજ ઉમેશની તબિયત ખરાબ થઈ, તેને તાવ આવ્યો હતો. સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. રાતના 3 વાગ્યા હતા. ત્યારે ઉમેશે ત્યાં હાજર ચાર પોલીસકર્મીઓને કહ્યું, “મારે લઘુશંકા માટે જવું છે.” પોલીસકર્મીઓને જરાય અંદાજો ન હતો કે ઉમેશ શું કરવા જઈ રહ્યો છે. ટોઇલેટ પાસે જઈને તેની હાથકડી ખોલી નાખવામાં આવી. એ દરમિયાન તક જોઈને ઉમેશ હોસ્પિટલમાંથી ભાગી ગયો. આજ દિન સુધી પોલીસ ઉમેશને પકડી શકી નથી. બીજી તરફ સુરતની કોર્ટમાં કમલેશની હત્યાનો કેસ ચાલતો રહ્યો. 29 સપ્ટેમ્બર, 2025ના રોજ આ કેસનો ચુકાદો આવ્યો, જેમાં કોર્ટે રાકેશને આજીવન કેદની સજા સંભળાવી. જ્યારે ભાગેડું ઉમેશ સામે કલમ 70 હેઠળ વોરંટ જાહેર કરીને તેને પકડીને અલગથી ચાર્જશીટ કરવાનો હુકમ કર્યો.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
સામાન્ય રીતે કચ્છમાં નવેમ્બર માસથી શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે અને જાન્યુઆરી અંત સુધીમાં કચ્છ જિલ્લામાં ઠંડીનો પ્રભાવ સ્પષ્ટ રીતે અનુભવાય છે. ખાસ કરીને કચ્છનું “કાશ્મીર” ગણાતા નલિયા પંથકમાં દર વર્ષે તીવ્ર ઠંડી નોંધાતી હોય છે. જોકે ચાલુ વર્ષે શિયાળાનો માહોલ મોડો જણાઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે છતાં ઠંડીનો અહેસાસ હજુ થયો નથી. હવામાન વિભાગના આંકડા મુજબ નલિયામાં ડિસેમ્બર માસ દરમિયાન અત્યાર સુધી સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગત વર્ષે 23 ડિસેમ્બર સુધી નલિયાનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગત વર્ષ અને ચાલુ વર્ષના આંકડાની તુલના કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ વર્ષે નલિયાનું સરેરાશ તાપમાન અંદાજે 2 ડિગ્રી વધ્યું છે, જે ઠંડીમાં ઘટાડા તરફ ઈશારો કરે છે. સામાન્ય રીતે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થયા બાદ જ ઉત્તર દિશાથી ઠંડી હવાઓનું પ્રવાહ શરૂ થાય છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે, જેના કારણે નલિયા સહિત કચ્છના વિસ્તારોમાં કડક ઠંડી અનુભવાય છે. આ સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ ઠંડીનો પ્રભાવ વધે છે અને લોકો ઠંડીથી ઠૂંઠવાઈ જાય છે. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી આ કુદરતી પ્રક્રિયામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓના મત મુજબ છેલ્લા વર્ષોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઇન્ટેનસિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ઉત્તર ભારતના પહાડોમાં બરફવર્ષા ઓછી થઈ રહી છે. વર્ષ 2021-22 દરમિયાન પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ હતી, પરંતુ ત્યારબાદ તેવા સ્તરની હિમવર્ષા જોવા મળી નથી. આ બદલાવની અસર ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત અને કચ્છ સુધી અનુભવી શકાય છે. આગામી બે દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. તેનાકારણે આગામી સપ્તાહથી કચ્છ સહિત નલિયા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. જો આવું બનશે તો લાંબા સમયથી રાહ જોતા લોકોને શિયાળાની સાચી ઠંડીનો અહેસાસ થવાની શક્યતા છે. માત્ર 3 દિવસ સિંગલ ડિજિટમાં રહ્યું નલિયાનું તાપમાન તારીખ લઘુતમ મહતમ 11-12-25 0.9 32 12-12-25 8.8 32.2 13-12-25 9.8 31.2
ગાંધીનગર ખાતે સેન્ટ્રલ સિવિલ સર્વીસ એન્ડ સ્પોર્ટસ બોર્ડ ભારત સરકાર ઉપક્રમ હેઠળ અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા 2025-26નું આયોજન સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની સરકારી પોલિટેકનિક, ભુજ ખાતે વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવતા અને માસ્ટર્સ ટેનિસ એકેડમીમાં માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ લેતાં જહાન્વી નરેન્દ્ર ઠક્કર ગુજરાત સચિવાલયની ટીમમાં પસંદગી પામી ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ ઇવેન્ટમાં ગુજરાત સચિવાલયની વુમન્સ ટીમે કાંસ્ય પદક મેળવ્યો હતો. પદક સુધીની સફરમાં ગુજરાત ટીમને દિલ્લી, હરિયાણા, છત્તીસગઢ તથા મુંબઈની ટીમોનો સામનો કરવાનો હતો. ટીમની આ સફળતામાં જહાન્વીએ બધા રાઉન્ડમાં સિંગલ્સ અને ડબલ્સ મેચ રમીને ભાગ ભજવ્યો હતો. કાંસ્ય પદક માટેના સિંગલ્સ મુકાબલામાં તેમણે મુંબઈની ખેલાડી સામે એકતરફી 9-0ના સ્કોરથી નિર્ણાયક જીત હાસલ કરી હતી. તેમની આ સિદ્ધિને આચાર્ય ડો. ગૌરાંગ લાખાણી, ખાતાના વડા કલ્પા હરપાલ, સર્વે સ્ટાફ મિત્રો તથા માસ્ટર્સ ટેનિસ એકેડમીના સાથી ખેલાડીઓએ બિરદાવી હતી. ગુજરાત દ્વારા પ્રથમ વખત સ્પર્ધાની યજમાની કરાઈગુજરાત રાજ્ય દ્વારા પ્રથમ વખત આ સ્પર્ધાની યજમાની કરવામાં આવી અને અખિલ ભારતીય લોન ટેનિસ સ્પર્ધામાં આ રાજ્યની પ્રથમ ટ્રોફી છે. આ સ્પર્ધામાં જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોની 28 ટીમોમાં 300થી વધારે ખેલાડીએ ભાગ લીધેલ. સ્પર્ધાનું આયોજન દેશભરથી આવેલ ખેલાડીઓ અને અધિકારીઓ દ્વારા ખૂબ પ્રસંશા પામ્યું હતું.
હકારાત્મક અભિગમ:નેટવર્કના ઉકેલ માટે બ્લેકઆઉટ શોધી અપડેટ કરાશે
ખનીજ પરિવહનના વાહનોમાં ફરજીયાત જીપીએસ કરવામાં આવ્યું છે જે વિસ્તારમાં નેટવર્ક નથી ત્યાં વાહનોની રોયલ્ટી બ્લોક થતી હતી જેથી વ્યવસાયકારો દ્વારા ભુજમાં કલેક્ટર અને ખનિજ વિભાગમાં રજૂઆત કરવામાં આવી અને આ મામલે ગાંધીનગર રજૂઆત કર્યા બાદ કમિશનર તરફથી હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ જિલ્લાએ હરણફાળ ભરી છે અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે જેમાં ચાઇનાક્લે અને બેન્ટોનાઈટ ઉદ્યોગ લોકોને રોજગારી અને મોટા પ્રમાણમાં સરકારને રેવન્યુ જનરેટ કરી આપે છે.અચાનક GPS પદ્ધતિમાં ફેરફાર કરાતા રોયલ્ટી જનરેટ કરવામાં અને ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી ઉભી થઇ હતી ત્યારે કચ્છ જિલ્લા ચાઇનાક્લે એસોસિયેશનના પ્રમુખ ગોકુલભાઈ ડાંગરની આગેવાનીમાં કચ્છ કલેકટર અને ખાણ ખનીજ અધિકારીને રજૂઆત કર્યા બાદ ગાંધીનગર મુકામે કમિશનરને રજૂઆત કરવા 500 જેટલા લોકો પહોંચ્યા હતા. ગોકુલભાઈ ડાંગર સહિત બેન્ટોનાઇટ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ ભાનુશાલી અને ટ્રક-ડમ્પર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ જાટીયા સાથે આગેવાનો કમિશનર ધવલ પટેલને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કમિશનરને સમગ્ર કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ સમજાવી અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક પૂરતા પ્રમાણમાં ન મળતા ક્યાંક ને ક્યાંક GPS કનેક્ટિવિટી ગુમાવી દે છે અને ટ્રકની રોયલ્ટી બ્લોક થઈ જાય છે જેથી 24 કલાક સુધી પરિવહન અટકી જતા પ્લાન્ટ, લીઝ અને ટ્રકથી સંકળાયેલા લોકો અને મજૂરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ ટેલીફોનિક વાતચીત કરી કમિશનરને અવગત કર્યા હતા અને તેનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું પ્રતિ ઉત્તરમાં કમિશનર ધવલ પટેલે સમસ્યાના નિરાકરણ માટે જે વિસ્તારોમાં નેટવર્ક પ્રોબ્લેમ હોય તેનો સર્વે કરવામાં આવે અને તે વિસ્તારમાં GPS ના ડેટામાં પ્રોબ્લેમ ન થાય તે માટે બ્લેકઆઉટ ઝોન ડિફાઇન કરી અપડેટ કરવામાં આવશે અને ત્યાં સુધી GPS સિસ્ટમ જે રીતે સરળતાથી ચાલી શકે તે રીતે ફરીથી કાર્યરત કરવામાં આવશે.ફરીથી પરિવહન અને જૂની રોયલ્ટી સિસ્ટમ શરૂ કરાઈ હતી.આ રજૂઆત પ્રસંગે કચ્છ જિલ્લા ચાઇનાક્લે એસોસિએશનના ઉપપ્રમુખ શામજીભાઈ ઢીલા, શિવજીભાઈ બરાડીયા, ભરતભાઈ ડાંગર, ખજાનચી મોહિતભાઈ સોલંકી, સહમંત્રી દીપક ડાંગર તથા આગેવાનો હરિભાઈ જાટિયા, સતિષભાઈ છાંગા, આલા ભાઇ છાંગા, માવજી ભાઈ આહીર હરિભાઈ ડાંગર, પુનમભાઈ મકવાણા તથા ગામના સરપંચો, લીઝ ધારકો, પ્લાન્ટ ધારકો અને ટ્રક માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર ઈનસાઈડ:ભુજ તાલુકાના નાડાપા પાસેથી સિલિકાસેન્ડ અને ચાઈનાક્લે ભરેલી ચાર ટ્રકો પકડાઈ
જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભુજ-ભચાઉ હાઈવે પરથી ગેરકાયદેસર ખનીજ વહન કરતી કુલ 4 ટ્રકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ-ભચાઉ હાઈવે પર નાડાપા ગામના ફાટક પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ટ્રક નંબર GJ-12-AZ-3859 અને GJ-01-DY-3673 ને અટકાવવામાં આવી હતી. આ બંને ટ્રકોમાં કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ વગર 40 મેટ્રિક ટન સિલિકા સેન્ડ ભરેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ડ્રાઈવર પપ્પુ રમેશ કોલી અને જુસબ ગગડાની પૂછપરછ કરતા આ વાહનોના માલિક મામદ હુશેન રમજાન જત અને ત્રીકમ ગોપાલ કેરાસીયા છે. તંત્રએ રૂા. 24 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે. આ જ કામગીરી દરમિયાન અન્ય બે ટ્રક નંબર GJ-03-AZ-4623 અને GJ-01-KT-4662 પણ ઝડપી પાડવામાં આવી હતી. જેમાં નિયમ કરતા ૩ મેટ્રિક ટન જેટલી વધુ ચાઈના ક્લે ઓવરલોડ ભરેલી હતી. ડ્રાઈવર ભરત કાગી અને પાંચા ભીમા કોલીની તપાસમાં આ ટ્રકો સચીન વાણીયા અને મોહન ગાગલની માલિકીની હોવાનું ખુલ્યું હતું. ઓવરલોડિંગ બદલ આ ગાડીઓ પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. થાનગઢના હુમલાની અસર વર્તાઈ, પોલીસ બંદોબસ્ત ફાળવાયોગત 15 ડીસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ રોકવા માટે નાયબ મામલદારની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે અસામાજિક તત્વો દ્વારા ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે કચ્છ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કચ્છ કલેકટરને આવેદન પત્ર પાઠવીને ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા નાયબ મામલતદાર સહીત કર્મચારીઓ/અધિકારીને પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. જેને પગલે કચ્છ કલેકટર દ્વારા રચાયેલી ટાસ્ક ફોર્સ સાથે પશ્ચિમ કચ્છ એસપી દ્વારા હથિયાર ધારી પોલીસ કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે. આ બાબતે નાયબ કલેકટર જિલ્લા ટાસ્ક ફોર્સ અર્શ હાશમીએ જણાવ્યું હતું કે રેડ સમયે ડમ્પર ચાલકો વાહનો ઉભા નથી રાખતા, ઘણી વખત ટીમ પર વાહનો ચડાવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને ટીમ સાથે અસામાજિક તત્વો માથાકૂટ કરતા હોવાના બનાવો બન્યા છે. જેને પહેલે હવે જિલ્લા ટાસ્ક ફોર્સ સાથે હથિયાર ધારી પોલીસ કર્મચારીઓ સાથે રહેશે.
માધાપરને ભુજ સાથે જોડતો ગાંધી સર્કલથી ઝાંસી કી રાની સર્કલ સુધીનો મહત્વપૂર્ણ માર્ગ ગત અઠવાડિયે દોઢ વર્ષ બાદ ડામરથી સજ્જ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમયથી તૂટી ગયેલો માર્ગ સુધરતા હવે વાહનચાલકોને રાહત મળી છે અને ડામરની ગુણવત્તા સારી હોવાનું ત્યાંથી પસાર થતા દરેક લોકોમાં આશા જાગી છે. બાકી રહેલી ત્રુટિ પણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. માર્ગ નવો બન્યો હોવા છતાં કેટલીક ગંભીર ખામીઓ સામે આવી છે. ખાસ કરીને બંને માર્ગની વચ્ચે આવેલા ડિવાઇડર પાસે વાહનો નીકળે તે સ્થળે નવા ડામરના કારણે છથી આઠ ઇંચ જેટલું ઊંચું સ્ટેપ જેવું બની ગયું છે, જે ક્યારે પણ અકસ્માતનું કારણ બની શકે છે. આ જ કારણથી સીનીયર સીટીઝન અને બાળકો માટે ખાસ જોખમી બનશે. ડિવાઇડરમાં ધૂળ અને કચરાના ઢગ ખડકી નાખવામાં આવ્યા છે તેમજ અગાઉ રહેલી ફેન્સીંગ પણ દૂર કરી દેવામાં આવી છે, જેના કારણે માર્ગની સુંદરતા બગડી છે. વાસ્તવમાં જો આ ડિવાઇડરને સુવ્યવસ્થિત રીતે વિકસાવી, હરિયાળી અને આકર્ષક ડિઝાઇન સાથે બનાવવામાં આવે તો તે સ્થાનિકો સાથે સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે. પરંતુ હાલની સ્થિતિ જોઈને અનેક પ્રવાસીઓ સહેજે કહી રહ્યા છે કે આ માર્ગ ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ સમાન છે.
કચ્છી સાહિત્ય ઉત્સવ:કચ્છના લોક સંગીત, યુવા પ્રતિભા સંમેલન સાથે ભુજમાં ઉજવાશે ‘કચ્છી સાહિત્ય ઉત્સવ’
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે કચ્છ સાહિત્ય ઉત્સવ ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ખાતે યોજવામાં આવશે. આગામી 25 થી 29 ડિસેમ્બર દરમિયાન યોજનારા આ પોતિકા ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.25 ડિસેમ્બર ગુરુવારના રાત્રે 8:00 કલાકે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહા, પદ્મશ્રી નારાયણ જોશી, કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ સહિતના ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની રૂપરેખા તા.25 ડિસેમ્બર ગુરુવાર તા.26 ડિસેમ્બર શુક્રવાર તા.27 ડિસેમ્બર શનિવાર (દેવરાજ ગઢવી, વંદના ગઢવી) તા.28 ડિસેમ્બર રવિવાર તા.29 ડિસેમ્બર સોમવાર
વાહન ચોર ઝડપાયો:જુગારમાં રૂપિયા હારી જતા યુવક વાહન ચોર બન્યો, વાહન ગિરવી મૂકી રોકડા લેતો
જુગારમાં મોટી રકમ હારી જતા ખાનગી કંપનીમાં કામ કરતો યુવક વાહન ચોરીના રવાડે ચડ્યો હતો. ચોરીના એક્ટિવા વેચવાની મુશ્કેલી પડતા ગીરવે મૂકી નાણાં લઈ ફરી પાછો જુગાર રમતા રીઢા વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને 9 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ સમયે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ એક્ટિવા ચાલકને અટકાવ્યો હતો અને કડક પૂછપરછ કરતા કુલ 6 એક્ટિવા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અગાઉ વાહન ચોરીમાં ઝડપાયેલા આરીફ સાબીર અલાઉદ્દીન દીવાન (રહે. સાઇનાથનગર, કરોડિયા રોડ)ની ધરપકડ કરી હતી. ચોરી થયેલી 6 એક્ટિવા કબજે કરી સંબંધીત પોલીસ મથકને જાણ કરી આરોપીને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. એક્ટિવા ચોરવી-વેચવી સહેલી હોવાથી ટાર્ગેટ કરતો હતોએક્ટિવા ચોરી કરવા પાછળનું કારણ જુગાર રમવાની લત હોવાથી અને જુગારમાં રૂપિયા હારી જતા દેવું થતાં જલદીથી રૂપિયા મેળવવા માટે છેલ્લા પાંચ મહિનામાં કુલ 6 જેટલી એક્ટિવા ચોરી કરી હતી. ત્યારબાદ વેચવા માટે અસલી કાગળો નહીં હોવાથી જુદા જુદા વ્યક્તિઓ પાસે 10થી 32 હજારમાં એક્ટિવા ગીરવે મૂકી રોકડા લઇ લેતો હતો અને આ રકમથી ફરી પાછો જુગાર રમતો હતો.
વ્યાખ્યાન:સમાજ માટે કંઇક કરવાની ભાવના જાગૃતપણે કરવાથી વ્યક્તિમાં ગૌરવની ભાવના આવે છે : જયશ્રી દીદી
વ્યક્તિ તરીકે હું કોણ છું તે આપણે ઓળખવું જોઇએ. બાહ્ય દુનિયા કરતાં આંતરિક દુનિયાને જાગૃત રાખવી પૃથ્વી પરના સજીવોમાં માનવ જ શ્રેષ્ઠ છે. સમાજ માટે કંઇક કરવાની ભાવના જાગૃતપણે કરવાથી વ્યક્તિમાં ગૌરવની ભાવના આવે છે. એમ સ્વાધ્યાય પરિવારના અગ્રણી માર્ગદર્શક જયશ્રી દીદીએ એમએસ યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક વ્યાખ્યાનમાં જણાવ્યું હતું. એમએસ યુનિવર્સિટીની પોલિટેક્નિક કોલેજના અ્દ્યતન રિડિંગ રૂમનું તેમના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નવા વાઇસ ચાન્સેલર પ્રો.ડો. ભાલચંદ્ર ભણગે વિશે જણાવ્યું કે, અમે બંને મુંબઇના છીએ, એક જ વિસ્તારમાં વર્ષોથી રહીએ છીએ પણ વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં મળવાનું થયું. આ રિડિંગ રૂમનું લોકાર્પણ તો નિમિત માત્ર છે તેમણે આ પ્રસંગે ભગવદ્ ગીતાના કેટલાક સંદેશા અને જીવન મૂલ્યસભર પ્રસંગો હળવાશથી જણાવ્યાં હતા. આ કાર્યક્રમમાં વીસી પ્રો.ભણગેએ જણાવ્યું હતું કે, પૂ.જયશ્રી દીદી એમએસ યુનિવર્સિટી સાથે આ રીતે જોડાયેલા છે તે યુનિવર્સિટીનું જમાપાસુ છે. ભગવદગીતાને માનીએ છીએ અને તેઓ તેનો સાર સરળતાથી સમજાવે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત સ્વાધ્યાય પરિવારના એક હજારથી વધુ સ્વાધ્યાયીઓ હાજર રહ્યાં હતા. રીડિંગ રૂમમાં એક સાથે 85 વિદ્યાર્થી વાંચી શકશેપોલિટેક્નિક કોલેજના પહેલા માળે જે અદ્યતન રિડિંગ રૂમનું લોકાર્પણ કરાયું તેમાં એક સાથે 85 વિદ્યાર્થીઓ એક સાથે વાંચી શકશે. આ રિડિંગરૂમમાં એસી અને ફર્નિચર સહિતની તમામ સુવિધાઓ છે. ઉલ્લેખનીય છે કે, આ રિડિંગરૂમને સ્વાધ્યાયીઓ દ્વારા સમાજસેવાના ભાવરૂપે તૈયાર કરીને એમએસ યુનિવર્સિટીને અર્પણ કરવામાં આવ્યો છે.
બાળકને મળ્યું જીવનદાન:4 વર્ષના બાળકની શ્વાસ નળીમાં મગફળીનો દાણો ફસાઈ ગયો, બ્રાન્કોસ્કોપી કરી કઢાયો
સયાજી હોસ્પિટલમાં મધ્ય પ્રદેશના 4 વર્ષના બાળકની બ્રાન્કોસ્કોપી કરીને શ્વાસનળી માંથી મગફળીનો દાળો કાઢવામાં આવ્યો હતો. અગાઉ મધ્ય પ્રદેશમાં સારવાર કરાવી હોવા છતાં નિદાન નહોતું થયું જેના કારણે બાળકને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. બાળકની 25 મીનીટ બ્રાન્કોસ્કોપી ચાલી હતી. જેના દ્વારા તેને નવુ જીવનદાન આપવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના અલીરાજપુરમાં 4 વર્ષનો બાળક ઘરમાં મગફળી ખાઈ રહ્યો હતો. તીવ્ર ખાંસી આવતા માતા-પિતા તેને નજીકની ખાનગી હોસ્પિટલ લઈને ગયા હતા.જ્યા એક્સરેમાં કંઈ મળી આવ્યું નહોતું. જેના કારણે બાળકને ઘરે મોકલી દેવામાં આવ્યું હતું. અલીરાજપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં નિદાન થયું હતું કે, તેની શ્વાસ નળીમાં મગફળીનો દાળો ફસાઈ ગયો છે. જેથી તેની બ્રાન્કોસ્કોપી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 25 મીનીટની બ્રાન્કોસ્કોપી બાદ શ્વાસ નળીમાંથી મગફળીનો દાણો કાઢવામાં આવ્યો હતો. બાળકના ફેફસાનો એક તરફનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો હતોઆ પ્રકારની પરિસ્થિતિ જોખમી છે. સર્જરી દરમિયાન પણ થોડી વાર બાળકને માસ્ક દ્વારા ઓક્સિજન આપતા હતા. કારણ કે દાણો અને કેમેરો બન્ને શ્વાસ નળીમાં હતા. ફેફસામાં શ્વાસ ન જતા સંક્રમણના કારણે બાળકનું એક ફેફસું ખરાબ થઈ ચૂક્યું હતું, જે ધીરે-ધીરે બીજા ફેફસામાં ફેલાઈ રહ્યું હતું.
ભાસ્કર ઈનસાઈડ:લૂંટના આરોપીની બ્રેક વગરની કાર લઈને જતા અમદાવાદ પોલીસના જવાને અકસ્માત સર્જ્યો
લૂંટના ગુનાના આરોપી અને વાહન ઝડપી પાડવા આવેલી અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોએ ઘેરીલીધી હતી.સ્થાનિક પોલીસે પહોંચી મામલો માંડ શાંત પાડ્યો હતો.આરોપીની યોગ્ય બ્રેક વગરની લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો કાર લઈ જતી વખતે અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની કારે અન્ય વાહનોને ટક્કર મારી હતી, જેથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને સ્કોર્પિયોકારને અટકાવી પોલીસ કર્મીના ઓળખ પત્રની માંગ કરી હોબાળો મચાવ્યો હતો.બે સપ્તાહ અગાઉ અમદાવાદ જિલ્લામાં બગોદરા પાસે લૂંટની ઘટના બની હતી. આ ગુનાનો મુખ્ય આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હોવાની જાણકારી ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આરોપીનું લોકેશન ફતેગંજ નવાયાર્ડ રોડ ઉપર આવેલા એક શોરૂમ પાસે આવતું હતું.જ્યાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાનો કાર લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવિંગ કરી રહેલા પોલીસકર્મીએ રાત્રીના સમયે બે વાહનોને ટક્કર મારી હતી. બનાવની જાણ થતાં ફતેગંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાનો સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આખરે મામલો શાંત પડતા અમદાવાદ પોલીસ આરોપી અને સ્કોર્પિયો કાર લઈને રવાના થઈ હતી. લૂંટની ઘટનાને અંજામ આપી આરોપી સ્કોર્પિયો કારને રિપેર કરાવવા વડોદરા આવ્યો હતોલૂંટની ઘટનાને અંજામ આપી આરોપી પોલીસથી બચવા સ્કોર્પિયો કાર લઈ સતત જુદા જુદા સ્થળ ઉપર ફરતો રહેતો હતો.આરોપીએ સ્કોર્પિયો કાર લઈ વડોદરા રિપેરિંગ માટે આવ્યો હતો.અમદાવાદ પોલીસે લૂંટમાં વપરાયેલી કાર ને જપ્ત કરી એને અમદાવાદ લઈ જવા જવાને ચલાવતા જ બ્રેક યોગ્ય રીતે કામ નહીં કરતી હોવાથી અકસ્માત થતાં હોબાળો થયો હતો.
કરજણના કુરાલીમાં થ્રી ઈડિયટ ફિલ્મ જેવો કિસ્સો બન્યો હતો. જેમાં 108ના ઈએમટીએ કોલ પર ફિઝિશિયનની મદદથી મહિલાને ડિલિવરી કરાવી હતી. જ્યારે બાળકના ગળામાં નાળ ફસાઈ હોવા છતાં 108ના સ્ટાફે નોર્મલ ડિલિવરી કરાવી હતી. જોકે જન્મ્યા બાદ બાળક રડતું નહોતું અને શ્વાસોચ્છ્વાસ પણ સામાન્ય નહોતા, જેથી 108ના સ્ટાફે પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યું હતું. કાસમપુરની સીમમાંથી 108ને કોલ આવ્યો હતો, જેમાં મહિલાને પ્રસવ પીડા ઊપડી હતી હોવાનું જણાવ્યું હતું. જોકે રસ્તો ખરાબ હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ નહોતી. જેથી 108ના ઈએમટી વિપુલભાઈ ચાલતા પહોંચ્યા હતા. તેમણે તપાસ કરી ત્યારે બાળકના પગ બહાર આવી ચૂક્યા હતા જ્યારે તેના ગળામાં નાળ વીંટળાઈ ગઈ હતી. તેઓએ હેડ ક્વાર્ટરમાં ફિઝિશિયનને કોલ કરી સ્થિતિ જણાવી હતી. જેથી ફોન પર તબીબના માર્ગદર્શનના આધારે વિપુલભાઈએ મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી હતી. બીજી તરફ જન્મ્યા બાદ બાળક રડતું નહોતું અને શ્વાસ ઓછા હતા. જેથી ન્યૂબોર્ન રિસેસિટેશન પ્રક્રિયા કરી શ્વાસોચ્છ્શ્વાસ સામાન્ય કર્યા હતા. મેં અત્યાર સુધી 5થી વધુ ડિલિવરી કરાવી છે, પરંતુ આ જટીલ હતીહું 2 વર્ષથી 108માં ફરજ બજાઉં છું. સ્થળ પર મેં 5થી વધારે ડિલિવરી કરાવી છે. જોકે આ કિસ્સો થોડો જટીલ હતો. બાળકના ગળામાં નાળ વીંટળાઈ ગઈ હતી અને તેને પગ પણ બહાર આવી ગયા હતા. જેથી મેં તબીબની મદદથી મહિલાની ડિલિવરી કરાવી હતી. > વિપુલભાઈ, ઈએમટી
ભાસ્કર નોલેજ:યુનિ.માં આઈકાર્ડ ન અપાતા છાત્રોનો મેઈન ઓફિેસને તાળાબંધીનો પ્રયાસ, 18ની અટક
એમએસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ફિઝિકલ આઇકાર્ડ ન આપતાં તેના વિરોધમાં આજે મેઇન ઓફિસ ખાતે તાળાબંધીનો કાર્યક્રમ કરવા ગયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી. યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ફિઝિકલ આઇકાર્ડ આપવાનું બંધ કરાયું છે. જેના પગલે યુનિવર્સિટીની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે, વિદ્યાર્થીઓના સામાનની ચોરીઓ થાય છે, યુનિવર્સિટીની માલ-મિલકતને નુકસાન પહોંચાડીને જતાં રહે છે, જાહેર શાંતિ ભંગ થાય તેવા કિસ્સાઓ બને છે. આવી રજૂઆત કરી તાળાબંધી કરવાના ઇરાદે એનએસયુઆઇના વિદ્યાર્થી-કાર્યકરો મેઇન ઓફિસે પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓએ સમય 3 વાગ્યાનો જાહેર કર્યો હતો. જેથી યુનિવર્સિટી સત્તાધીશોએ પોલીસને બોલાવી લીધી હતી. પોલીસનો કાફલો પોલીસની વેન અને ફોર વ્હીલર સાથે આવી પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓને ટિંગાટોળી કરીને સીધા જ ડબામાં ચઢાવી દેવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને છાણી પોલીસ સ્ટેશને લઇ જઇ તેમની બે કલાક માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસે વિદ્યાર્થીઓ તાળાબંધી માટે જે સાંકળ અને તાળું લાવ્યા હતા તે પણ જમા લઇ લીધા હતા. એનએસયુઆઇના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું કે, અમારે વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીની સલામતીના મુદ્દે રજૂઆત કરવી હતી પણ રજૂઆત કરીએ તે અગાઉ જ અમારા 18 વિદ્યાર્થી-કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. 2019 પહેલા ફિઝિકલ આઇકાર્ડ અપાતા હતા, યુનિવર્સિટી આઈકાર્ડની ફી ઉઘરાવતી નથીએમએસ યુનિવર્સિટીની 1949માં સ્થાપના થઇ ત્યારથી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની સલામતીના મુદ્દે ક્યારેય ઢીલું મૂકાયું ન હતું. 2011માં ક્રેડિટ બેઝ્ડ ચોઇસ સિસ્ટમ ( સીબીસીએસ) દાખલ કરવામાં આવી ત્યારે 2011ના જુલાઇ મહિનામાં યુનિક આઇડેન્ટિટી સ્માર્ટ કાર્ડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતા. શરૂઆત ફેકલ્ટી ઓફ આર્ટસથી થઇ હતી. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતા. 2019માં અચાનક ફિઝિકલ આઇકાર્ડ આપવાના બંધ કરાયા હતા.ત્યારબાદ ફિઝિકલ આઇકાર્ડ માટેની ફી પણ યુનિવર્સિટીએ ઉધરાવવાની બંધ કરી હતી.
ડ્રાઈવ:સિગ્નલ તોડનારા લોકોની ખેર નથી,80 હજાર વાહનચાલકને ઇ-ચલણ અપાયાં
ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ યોજે છે. જે અંતર્ગત સિગ્નલ ભંગ કરવું, રોંગ સાઈડ વાહન ચલાવતા 80 હજાર ચાલકોને ટ્રાફિક શાખાએ ઈ-ચલણ આપ્યાં છે. જો દરેક વાહન ચાલકોને રૂા.500-500નો પણ દંડ કરાયો હોય તો 80 હજાર વાહન ચાલકોના દંડની રકમ અંદાજે 4 કરોડ પર પહોંચે છે. ઉપરાંત અનધિકૃત પેસેન્જરોને બેસાડી હેરાફેરી કરતા વાહનચાલકો વિરુદ્ધ પણ ટ્રાફિક શાખાએ કાર્યવાહી કરી છે. જેમાં 13 થી 22 ડિસેમ્બર સુધી 19 વાહનો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. નોંધનીય છે કે, રિક્ષા, ઈકો જેવાં પેસેન્જર વાહનોમાં ક્ષમતાથી વધુ પેસેન્જર બેસાડીને હેરાફેરી કરાતાં અકસ્માતો થય છે, જેમાં લોકોના જીવને જોખમ રહેલું હોય છે. આગામી સમયમાં પણ ટ્રાફિક વિભાગ વાહન માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.
પોલીસની વ્યસ્ત અને પડકારજનક ફરજ વચ્ચે કર્મચારીઓને સ્વસ્થ રાખવા ખાસ શહેર પોલીસ અધિકારી, ટ્રાફિક પોલીસ, પોલીસ કર્મચારી, ટ્રાફક બ્રિગેડ સહિતના સ્ટાફને યોગ કરાવવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 30થી વધુ બીએમઆઈ ધરાવતા 50 પોલીસ કર્મી સહિત 125 કર્મીની પ્રથમ બેચ બનાવાઈ છે. તમામને યોગા કરાવાશે, સાથે ટીમમાં ડાયેટિશિયન અને ફિઝિયોથેરાપિસ્ટ પણ રખાશે. આ માટે સંસ્કૃતિ ફાઉન્ડેશન 108 સૂર્ય નમસ્કાર ટીમ નિ:શુલ્ક સેવા આપશે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પોલીસ કર્મીઓને સ્વસ્થ રાખવા ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. તમામ કર્મીઓની રોગપ્રતિકારક શક્તિ સારી રહે, કામ કરવાની ક્ષમતા વધે તેમજ ખૂબ જ વ્યસ્ત નોકરીના સમયે તેઓ સ્વસ્થ રહે તેવો આશય છે. અઠવાડિયામાં 3 વખત 1 કલાક માટે કારેલીબાગ ટ્રાફિક ઓફિસ, જ્યારે જરૂર જણાય તો પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગાસન કરાવાશે. યોગની બેચ સતત દોઢ મહિનો ચાલશે, તે બેચ બાદ અન્ય બેચ બનાવીને યોગની તાલીમ આપવાનું આયોજન છે. પરેડ, સ્પોર્ટ્સ સહિતની પ્રવૃત્તિ પણ કરાવાય છેપોલીસ હેડ ક્વાર્ટર ખાતે મેદસ્વિતા ધરાવતા પોલીસ કર્મચારીઓને પીટી-પરેડ સહિતના પ્રવૃત્તિ કરાવાય છે. આ સાથે જ તેમને સ્પોર્ટ્સની વિવિધ એક્ટિવિટી પણ કરાવાય છે. હેડ ક્વાર્ટર ખાતે ખાસ સોમવારે અને શુક્રવારે પરેડ સહિતનું આયોજન કરવામાં આવે છે. પોલીસ કર્મીને સ્વસ્થ રાખવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યાં છે. 30થી વધુ બીએમઆઇ ધરાવતા 50 કર્મચારી છેડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ પાસે તેમની ઊંચાઈ, વજન સહિતની વિગત મગાઈ રહી છે. હાલ લગભગ 50 કર્મચારીનો બીએમઆઈ (બોડી માસ ઈન્ડેક્સ) 30થી વધુ મળ્યો હતો. જ્યારે અન્ય કર્મચારીઓનો ડેટા મગાવાયો છે, તેમની તપાસ કરાશે. અન્ય કર્મીઓ પણ યોગ સત્રમાં ભાગ લઈ શકશેપોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય સારું રહે સાથે જ તેમની રોગપ્રતિકારક શક્તિ સારી રહે, વધુ સારી રીતે સેવા આપી શકે, તેમાં યોગ ખૂબ મદદરૂપ બનશે. અન્ય પોલીસ કર્મચારીઓ પણ તેમાં ભાગ લઈ શકશે. > તેજલ પટેલ,ડીસીપી ટ્રાફિક
પશ્ચિમ રેલવે દ્વારા દેશમાં સૌ પ્રથમવાર તત્કાલ ટિકિટ માટે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. હવે 23મી ડિસેમ્બરથી વધુ 4 ટ્રેનોમાં તત્કાલ ટિકિટમાં ઓટીપીની સિસ્ટમ લાગુ પાડવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં બાંદ્રા ટર્મિનસથી રાજસ્થાનના ગંગાનગર સુધીની એક્સપ્રેસ ટ્રેન ઉપરાંત બાંદ્રા-બરૌની, અમદાવાદ-સહરસા અને ભૂજ-બાંદ્રા ટર્મિનસ ટ્રેનોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે. જેથી હવે બુધવારથી આ ટ્રેનોમાં પણ તત્કાલ ટિકિટ મેળવવા માટેનો પ્રયાસ કરનારે પોતાની સાથે મોબાઇલ ફરજિયાતપણે રાખવો પડશે. ઉલ્લેખનીય છે કે, રેલવે ટિકિટ બુકિંગમાં પારદર્શિતા રાખવા અને વાસ્તવિક પેસેન્જરને જ તત્કાલ ટિકિટ મળે તે હેતુથી આ સુવિધા જાહેર કરવામાં આવી છે. રેલવેમાં નવી સિસ્ટમની ટ્રેનોની સંખ્યા 25 પર પહોંચી પશ્ચિમ રેલવે દ્વારા 1 ડિસેમ્બરથી તત્કાલ ટિકિટોમાં નવી ઓટીપીની પ્રણાલી દાખલ કરાઈ છે. અત્યાર સુધી 21 ટ્રેનોમાં આ સિસ્ટમ લાગુ પડાઈ છે. જેને પગલે તત્કાલ ટિકિટ માટે અનધિકૃત રીતે કાર્યરત તત્ત્વો પર અંકુશ મૂકાયો છે. બીજી તરફ 24મીથી 4 નવી ટ્રેનોમાં સિસ્ટમ લાગુ કરાઈ છે.
તૈયારી:ભારત-ન્યૂઝીલેન્ડ મેચ : કોટંબીમાં 500થી વધુ સિક્યુરિટી ગાર્ડ,બાઉન્સર તૈનાત રહેશે
કોટંબી સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીએ રમાનાર ભારત-ન્યૂઝીલેન્ડની મેચને લઈ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 43 એકરના સ્ટેડિયમમાં મહિલા-પુરુષ સિક્યુરિટી ગાર્ડ, બાઉન્સર સહિત 500થી વધુ સ્ટાફ ખડેપગે રહેશે અને પોલીસ સાથે સ્ટેડિયમની સિક્યુરિટીનું ધ્યાન રાખશે. વીઆઈપીને ખાસ એસ્કોર્ટ વાહનમાં લઈ જવા કર્મીઓ, સુપરવાઇઝર, બાઉન્સલ, મહિલા-પુરુષ સિક્યુરિટી ગાર્ડ સહિતની મંગળવારે સ્ટેડિયમ પર મિટિંગ રાખવામાં આવી હતી. કયા ગેટ પરથી કોણ આવશે, કોને ક્યાંથી ક્યાં લઈ જવા, ક્યાં કેટલી સિક્યુરિટી રાખવી સહિતના મુદ્દા ચર્ચા કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જિલ્લા પોલીસ ફરી ગુરુવારે સ્ટેડિયમ વિઝિટ કરીને આગામી પ્લાનિંગ કરશે તેમ જાણવા મળ્યું હતું. મેચની ટિકિટની બોગસ લિંકથી દૂર રહેવું જોઈએબીસીએના ખજાનચી શિતલ મહેતાએ કહ્યું કે, વર્ષો બાદ વડોદરામાં મેન્સ ઈન્ટરનેશનલ મેચ રમાશે. ક્રિકેટ રસિકોમાં ખૂબ ઉત્સાહ છે. કેટલાક લોકો ઉત્સાહનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને ખોટી વેબસાઇટ કે લિંક બનાવી ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટ વેચવાના બહાને છેતરવાનો પ્રયત્ન કરે છે. અપીલ છે કે, જ્યાં સુધી બીસીએ સત્તાવાર જાહેર કરે નહીં, ત્યાંથી બોગસ લિંક સહિતથી દૂર રહેવું જોઈએ. બીસીએ દ્વારા મેચની ટિકિટ માટે સત્તાવાર ઓનલાઇન પ્લેટફોર્મ સહિતની જાહેરાત કરાશે. સ્ટેડિયમની ટિકિટ સમજી સ્ક્રીનિંગની ટિકિટ લીધા બાદ લોકો સલવાયાભારત-ન્યૂઝીલેન્ડની પહેલી ઓડીઆઈ મેચને લઈ લોકો ટિકિટ ખરીદવા ઉત્સુક બન્યા છે. ત્યારે ઘણી જગ્યાએ મેચના સ્ક્રીનિંગ માટે હોલ લોકો બુક કરી રહ્યા છે. રાજ્ય બહાર પણ હોલ બુક થઈ રહ્યા છે ત્યારે તે સ્ક્રીનિંગની ટિકિટ ખરીદીમાં કેટલાક લોકો સલવાયા હોવાનું જાણવા મળ્યું હતું. યુવકે સ્ક્રીનિંગ પાછળ રૂા.5 હજાર આપી દીધા હતા. ત્યારબાદ સ્ટેડિયમમાં મેચ જોવાનું નહીં તે સ્ક્રિનિંગ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ યુવકના રૂપિયા પણ રિફંડ થયા નહોતા. હજી સુધી બીસીએ દ્વારા ઓફિશિયલ ટિકિટ બુક કરવા જાહેરાત કરાઈ નથી.
અભિપ્રાય:સફાઈ અંગે લોકોને ફોન કરી પૂછાશે,તમારે ત્યાં સફાઈ કરી છે, ડોર ટુ ડોરનાં વાહનો આવે છે?
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2025ની ટુલ કિટ જાહેર કરાઈ છે, જે અંતર્ગત પાલિકાએ કામગીરી શરૂ કરી છે. આગામી દિવસોમાં સ્વચ્છતા અંગે ફીડબેક લેવા પાલિકા લોકોને ફોન કરી અભિપ્રાય મેળવશે. જેમાં તમારા વિસ્તારમાં સફાઈ થાય છે કે કેમ, ડોર ટુ ડોરનું વાહન નિયમિત આવે છે કે નહીં તે સહિતના અભિપ્રાય મેળવશે. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી રિવ્યૂ બેઠકમાં સ્વચ્છ સર્વેક્ષણ-2025ની જાહેર કરાયેલી ટુલ કિટ અંગે ચર્ચા કરાઈ હતી. સ્વચ્છતા પર ભાર આપવા મ્યુ. કમિશનરે દરેક વોર્ડમાં સ્વચ્છતા સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું છે. જે વોર્ડમાં સફાઈ સારી હશે તેને એવોર્ડ અપાશે. બીજી તરફ અગાઉના વર્ષ કરતાં આ વર્ષે સિટીઝન ફીડબેક પર વધારે ભાર મુકાયો છે. જેમાં પાલિકા તેના કોલ સેન્ટર પરથી ફોન કરી લોકોના વિસ્તારમાં સફાઈ થાય છે કે કેમ, ડોર ટુ ડોરનાં વાહન નિયમિત આવે છે કે નહીં, સુપરવાઇઝર આવે છે કે કેમ તેવા સવાલો દ્વારા અભિપ્રાય લેવાશે. તદુપરાંત ગલીઓમાં સફાઈ થાય તેના પર વિશેષ ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આપી છે. મ્યુ. કમિશનરે નજરે જોઈ શકાય તેવી સફાઈ કરવા ભાર મૂક્યો હતો. બેઠક પૂર્વે મ્યુ. કમિશનરે સૂર્ય નારાયણ મંદિરની મુલાકાત લીધીમ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ રિવ્યૂ બેઠક પૂર્વે જીપીઓ સામે ઐતિહાસિક સૂર્ય નારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. રિવ્યૂ બેઠકમાં તેઓએ માંડવીની ચિંતા કરતાં કહ્યું કે, બે વખત ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે. આગામી દિવસોમાં રિસ્ટોરેશનનું કામ શરૂ કરાશે. શાળાઓનાં કેમ્પસ પ્લાસ્ટિક મુક્ત કરવા પહેલ કરાશે, રિયૂઝ વોટર પર ભાર મૂકાશેસ્વચ્છ સર્વેક્ષણ-2025ની જાહેર કરાયેલી ટુલ કિટ મુજબ પાલિકા વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવશે. શાળાઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે તે માટે જનજાગૃતિના પ્રયાસો હાથ કરશે. તદુપરાંત જૂની સોસાયટીઓની આસપાસ થતી ગંદકીની સફાઈ, વોલ પેઇન્ટિંગ જેવા કાર્યક્રમો કરશે. ગંદકીના ઓપન સ્પોટ પર સ્કલ્પચર મૂકી બ્યૂટિફિકેશન કરાશે. આ સિવાય વોટર રિયૂઝ પોલિસી પર ભાર મૂકવા સાથે તળાવની સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
મહિલા વર્લ્ડ કપ જીતીને ભારતને ગૌરવ અપાવનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવે પાલિકા પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા જગ્યા માગી છે. જોકે મ્યુ. કમિશનર સાથેની મુલાકાતમાં તેણે કરેલી રજૂઆતના આધારે હરણી-સમા લિંક રોડ પર 10 હજાર ચો. મીટર જગ્યા આપવા પ્રક્રિયા શરૂ કરી છે. ભારતીય ક્રિકેટ મહિલા ટીમનાં ખેલાડી અને વડોદરાની રહેવાસી રાધા યાદવે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી દેશ સહિત વડોદરાને ગૌરવ અપાવ્યું હતું. રાધા યાદવે મ્યુ. કમિશનરની મુલાકાતમાં ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા જગ્યા માગી હતી. આધારભૂત સૂત્રો મુજબ રાધા યાદવે પાલિકામાં અરજી કરી છે. જેને ધ્યાનમાં રાખી હરણી-સમા લિંક રોડ પર ટીપી 1 ફાઇનલ પ્લોટ 156, 157ના કોમર્શિયલ હેતુના 16,523 ચો. મીટરના પ્લોટ પૈકી 10 હજાર ચોરસ મીટર જગ્યા 10 વર્ષ માટે ફાળવવાની તૈયારી શરૂ કરી છે. રાધા યાદવે આ જગ્યાએ રૂા.10 થી 15 લાખના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા માટેનું આયોજન કર્યું છે. વાર્ષિક રૂા.2 લાખ ટોકન ભાડું આપવાની પણ તૈયારીરાધા યાદવે પાલિકામાં આપેલી અરજી મુજબ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા માટે 10 હજાર ચોરસ મીટર જગ્યાની માગ કરી છે. જેમાં તેણે વાર્ષિક 2 લાખ ટોકન ભાડું ચૂકવવાની તૈયારી દર્શાવી છે. આ પ્લોટ 10 વર્ષ માટે હંગામી ધોરણે જમીન ફાળવવાનું પાલિકા વિચારી રહી છે. આ સિવાય ભાડા અને લાગતના અલગ-અલગ વિકલ્પો અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલી તેની મંજૂરી મેળવાશે. હા, અમે પ્લોટની માગણી કરી છેઅમે ક્રિકેટ ગ્રાઉન્ડ માટે પાલિકા પાસે જગ્યા માગી છે. મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી. > મિલિંદ વારાવડેકર, રાધા યાદવના કોચ પ્લોટ આપવા પ્રક્રિયા કરી રહ્યા છીએરાધા યાદવ તરફથી અમને અરજી મળેલી છે અને ગુજરાત સરકારની પણ સૂચના છે. જેથી અમે પ્લોટ આપવા માટેની પ્રકિયા કરી રહ્યા છીએ. > અરુણ મહેશ બાબુ, મ્યુનિ. કમિશનર નિયમોનુસાર નિર્ણય લઈશુંરાધા યાદવને પ્લોટ આપવા મુદ્દે કોઈ દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી નથી. દરખાસ્ત આવશે તો ચર્ચા કરી નિયમોનુસાર નિર્ણય લઈશું. > ડો. શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતિ નેતાઓ નહીં સુધરે! ક્રિકેટ મેદાન વિકસાવવા માગતા જ રાજકીય ખેંચતાણ શરુમહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ વડોદરા આવેલી ક્રિકેટર રાધા યાદવે મ્યુ. કમિશનરને મળી પ્લોટની માગ કરી હતી. વહીવટી તંત્ર પાસે પ્લોટની માગણી કરતાં જ રાજકીય નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. રાધા યાદવને પ્લોટ આપવો કે કેમ તે અંગે પણ નેતાઓએ રાજકીય સોગઠાં બેસાડવાનું શરૂ કર્યું છે. રાધા યાદવ કયા નેતાને મળી અને કોને નથી મળી, પ્લોટ આપવા અંગેની રજૂઆત કોના ઈશારે કરાઈ રહી છે તે અંગે પણ ગંદું રાજકારણ શરૂ થયું છે. એક તરફ શહેરના વિકાસને નેતાઓની જૂથબંધીનું ગ્રહણ લાગ્યું છે. જેનાથી પ્રદેશ મોવડી પણ નારાજ છે, છતાં તેને અવગણીને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા એકબીજા સામે તલવારો તાણી છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ પ્લોટ આપવા માટે કટિબદ્ધ હોવાનું જાણવા મળ્યું છે.
ઉગ્ર વિરોધ:બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે બજરંગ દળ જવાહર ચોક ખાતે ઉગ્ર વિરોધ
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલી હિંસા, હત્યા અને અત્યાચારોના વિરોધમાં સુરેન્દ્રનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો આ ગંભીર મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે. બાંગ્લાદેશમાં વધતી કટ્ટર માનસીકતા વાળા જીહાદી લોકો દ્વારા જાહેરમાં મારમારી યુવાનને જીવતો સળગાવવાનો બનાવ બનતા ઠેરઠેર વિરોધના સુર ઉઠ્યા છે. ત્યારે તેના પડઘા સુરેન્દ્રનગરમાં પણ પડ્યા છે. સોમવારના રોજ વિશ્વ હિન્દુપરીષદ અને બજરંગદળ દ્વારા જવાહર ચોક ખાતે વર બજરંગ દળના સંયોજક કાનાભાઈ રબારી, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રમેશભાઈ ભુતડા અને મંત્રી પ્રકાશભાઈ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો દ્વારા વિરોધ કરાયો હતો. બજરંગ દળના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં કટ્ટરપંથી માનસિકતા ધરાવતી સરકાર બન્યા બાદ હિન્દુઓની સુરક્ષા જોખમાઈ છે. ત્યાંની સરકાર દોષિતો પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પણ આ બાબતે મૌન સેવી રહ્યું હોવાથી ભારત સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે આંતરાષ્ટ્રીય મંચ સુધી વેદના પહોંચાડે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરાવેની માંગ કરી હતી. { બજરંગ દળ દ્વારા જવાહર ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન.
ભાસ્કર ઈનસાઈડ:પહેલાં ચિત્રો પાછળ 30 લાખ ખર્ચ્યા હવે નવા ચિત્રો પાછળ 20 લાખ
સુરેન્દ્રનગર શહેરને મનપાનો દરજજો મળ્યા બાદ મોટા શહેર જેવી નગર રચના કરવામાં આવી રહી છે. હજુ બે મહિના પહેલા જ દોરેલા ચિત્રોને ભૂસીને નવા ચિત્રો દોરવામાં આવતા અનેક સવાલો ખડા થયા છે. મનપાએ પહેલા જે ચિત્રો દોર્યા હતા તેની પાછળ અંદાજે રૂ.30 લાખનો ખર્ચ કર્યો હતો. હવે નવા ચિત્રો પાછળ 20 લાખ જેટલો ખર્ચ થશે. મનપા પાસે, કલેકટર કચેરી પાસે, જેલ રોડ ઉપર સહિતના મહત્વના વિસ્તારોમાં મનપાએ સ્વચ્છતા, દેશભકિત સહિતના જુદા જુદા સંદેશ આપતા ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ ચિત્રો દોર્યાને હજુ 2 મહિના જેટલો સમય થયો છે ત્યાં મનપા દ્વારા તે ચિત્રો જે હાલ સારી સ્થિતિમાં છે તેના ઉપર સફેદ કૂચડો મારવામાં આવી રહ્યો છે. 2 મહિનામાં માત્ર ચિત્રો પાછળ જ રૂ.50 લાખ જેટલો ખર્ચ કરી દેવામાં આવશેમનપાએ પહેલા જે ચિત્રો દોર્યા હતા તેની પાછળ અંદાજે રૂ.30 લાખનો ખર્ચ કર્યો હતો. તેને દોરતા 2 મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યારે હવે અત્યારે નવા ચિત્રો દોરવામાં આવી રહ્યા છે તેની પાછળ અંદાજે રૂ.20 લાખ જેટલો ખર્ચ થશે. આમ 2 મહિનામાં માત્ર ચિત્રો પાછળ જ રૂ.50 લાખ જેટલો ખર્ચ કરી દેવામાં આવશે.
સુરેન્દ્રનગરમાં તંત્રની લાલ આંખ:સુકુન ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં 1.30 લાખનો દંડ
સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા શહેરના મહેતા માર્કેટમાંથી લેવામાં આવેલા ઘીના નમૂના રિપોર્ટમાં ફેઈલ સાબિત થતા નિવાસી અધિક કલેક્ટર આર.કે.ઓઝાએ પેઢીના માલિક અને ઉત્પાદકને કુલ રૂા. 1,30,000નો દંડ ફટકાર્યો છે. પૃથ્થકરણ માટે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલાયો હતો. લેબોરેટરીના અહેવાલ મુજબ, આ ઘીના નમૂનામાં Acetylated mono Diglyceridesની હાજરી મળી આવી હતી. સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેક્ટર અને એડજ્યુડિકેટિંગ ઓફિસર આર.કે. ઓઝા દ્વારા સુકુન પ્રીમીયમ કાઉ ઘીના નમૂનામાં નિર્ધારિત સ્ટાન્ડર્ડ ન જળવાતા પેઢીના માલિક અને ઉત્પાદકને કુલ રૂા.1,30,000નો દંડ ફટકારાયો છે. ફૂડ સેફ્ટી ઓફિસર કે.ડી. વાઘેલા દ્વારા મહેતા માર્કેટમાં આવેલી ન્યુ વિજય ટ્રેડીંગ કું.માંથી ઘીનો નમૂનો લીધો જે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આથી આ કેસમાં એડજ્યુડિકેટિંગ ઓફિસર આર. કે. ઓઝાએ વેચાણકર્તા પેઢીના માલિકોને સંયુક્ત રીતે રૂ.30,000 તથા દમણ સ્થિત ઉત્પાદક પેઢી સાવત્તા ફૂડ પ્રોડક્ટસના પ્રોપરાઇટરને રૂા.1,00,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈમલ્સિફાયરના ઉપયોગ સ્વાસ્થયને નુકશાન કરે શુદ્ધ ઘીમાં આ પ્રકારના કૃત્રિમ ઘટકોની મનાઈ છે. આ એક પ્રકારના ઈમલ્સિફાયર છે, જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોનું Texture જાળવવા થાય છે. પરંતુ ઘીમાં તેનો ઉપયોગ ભેળસેળ ગણાય છે. પાચનતંત્રની સમસ્યાઓ હૃદય અને કોલેસ્ટ્રોલ પર અસર એલર્જીક પ્રતિક્રિયાઓ લીવર અને કિડની પર ભાર મેટાબોલિક ડિસઓર્ડર સહિત બીમારી થવાની શક્યતા છે.
સુરેન્દ્રનગર: 62-વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદી તૈયાર કરવામાં નોંધણી અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે. ગણપતિ ફાટસર વિસ્તારની બે મુખ્ય સોસાયટીઓના મતદારોના નામ રહેણાંક વિસ્તારથી દૂર આવેલા બુથમાં સમાવેશ કરવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્ને આજે બહુજન સમાજ પાર્ટી વઢવાણ દ્વારા તંત્રને આવેદન પત્ર પાઠવી તાકીદે સુધારા કરવા માંગ કરી છે. સુરેન્દ્રનગર મતદાર નોંધણી અધિકારી વઢવાણ વિધાનસભા વિસ્તારને બહુજન સમાજ પાર્ટીના વઢવાણ વિધાનસભા અધ્યક્ષ પ્રેમજીભાઇ રાઠોડે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ 62 વઢવાણ વિધાનસભાના ગણપતિ ફાટસર વિસ્તારની બે સોસાયટીઓ ગણેશનગર, સિધ્ધીનગરના રહીશોના નામ બીજા મતદાન મથક નં.252 બૂથમાં સમાવેશ કરેલ છે. મતદાર નોંધણી અધિકારીની ગંભીર ભૂલના કારણે ગણેશનગર અને સિધ્ધીનગરના મતદારોને મતદાર અધિકારની ભૂલ-બેદરકારીને કારણે મતદાન મથક બુથ નંબર 252 ઘરશાળા પ્રાથમિક શાળાની બુથ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાથી ગણેશનગર અને સિધ્ધીનગરના મતદારોને મત આપવા મતદાન મથક બુથ નંબર 252 ઘરશાળા પ્રાથમિક શાળામાં જવું પડશે. ખરેખર તો ગણેશનગર અને સિધ્ધીનગરના રહીશોના નામ ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા-ગણેશનગર બુથ અનુસંધાન પાના નં. 3 ઉપર
ભાસ્કર પેરેલલ ઈન્વેસ્ટિગેશન:કલેક્ટરના શાસનમાં માલવણ, લખતર, પાટડીમાં મોટાપાયે જમીન સંપાદન
સુરેન્દ્રનગરમાં મંગળવારે સવારે પરોઢીયે 5 વાગેઇડીએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલેકલેક્ટર, નાયબ મામલતદાર,કલેક્ટરના પીએ, વકીલ અનેક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી.રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલીહતી. હજુ કોઇ સત્તાવાર વિગતોસામે આવી નથી. પરંતુ કલેક્ટરે સત્તાસંભાળ્યા બાદ નળસરોવર,ધ્રાંગધ્રાના માલવાણ, લખતરનાતલસાણા અને પાટડીમાં સોલારપ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દોચર્ચામાં આવ્યો છે. કલેકટર જે ફાઇલનો વહિવટકરવાનો હોય તે ઘરે લઇ જતા હતા. સમગ્ર તપાસનુંએપી સેન્ટર આ 5 જણાંનું નિવાસ સ્થાન હતું.કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ EDની ટીમે. 1500કરોડના જમીન સંપાદનમાં કટકી બટકીનાઆરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ,નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએરવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયુરસિંહ ગોહિલ અને હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આટલું મોટુંજમીન કૌભાંડ ક્યાં આચરવામાં આવ્યું તે ચોક્કસરીતે જાણી શકાયું નથી. EDની 6 ટીમે 15 કલાક સુરેન્દ્રનગરમાં તપાસ કરી : પરોઢિયે પાંચ વાગે તપાસ હાથ ધરી
નવત્તર અભિગમ:ઝાડેશ્વર અભિનવ શોપિંગ પાસે 15 વૃક્ષોનું વાવેતર
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કિમીનો રસ્તો બનાવવા માટે 250 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં હતાં. વૃક્ષો કપાઇ ગયાં બાદ અભિનવ શોપિંગ સેન્ટરના વેપારીઓએ તેમના શોપિંગ આગળની ખુલ્લી જગ્યામાં 15 વૃક્ષોનું વાવેતર કરી તેના જતનનો સંકલ્પ લીધો હતો. ભરૂચ ઝાડેશ્વર ચોકડી થી જૂના તવરા સુધી 4 કિલોમીટરના ચાર માર્ગીય માર્ગનું 23 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. કામગીરી દરમિયાન આ માર્ગ ઉપર 250 થી પણ વધુ ઘટાદાર વૃક્ષો આવેલા હતા. પરંતુ માર્ગ બનાવવાની કામગીરી દરમિયાન અડચણરૂપ બનતા તંત્ર તરફથી વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. તેથી આ માર્ગ ઉપર હાલ કોઈ જ વૃક્ષ ન હોવાથી અહીંથી પસાર થતા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે. ત્યારે ઝાડેશ્વર ચોકડી ને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર તરફથી શોપિંગ ના આગળના ભાગ ઉપર રોડને અડીને 15 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અહીંથી મોટાભાગના લોકો ઝાડેશ્વર ચોકડી થી ઝનોર સુધીના લગભગ 25 થી વધુ ગામના લોકો ઝાડેશ્વર અભિનવ એવન્યુ શોપિંગ ની આગળ ઊભા રહી વાહનો જેવા કે બસ રીક્ષા જેવા વાહનોની રાહ જોતા હોય છે. ત્યારે આવા સમયે લોકોને ગરમી કે વરસાદમાં રાહત માટે તેવો વૃક્ષની નીચે ઊભા રહે જેને ધ્યાને લઈ અભિનય એવન્યુ પરિવારે વૃક્ષારોપણ કર્યું હતું.
ગામ લોકોનો વિરોધ:ઝઘડિયાના ઇન્દોર ગામમાં રેતીની લીઝો ફાળવવા વિરુદ્ધમાં લોકો આકરા પાણીએ
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે યોજાયેલી લોકસૂનાવણી દરમિયાન ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોના ઉગ્ર વિરોધને કારણે લોકસૂનાવણી અધૂરી રાખીને અધિકારીઓને સ્થળ છોડવું પડ્યું હતું. રેતીની લીઝ માટે આશરે આઠ જેટલા બ્લોકની લોકસૂનાવણી ઇન્દોર ગામે અશા ગામના વડીયા મંદિર પાસે યોજાઈ હતી. ઇન્દોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોકસૂનાવણીમાં હાજર રહ્યા હતા. લોકસૂનાવણી શરૂ થતાની સાથે જ ગ્રામજનોએ અધિકારીઓ સામે સવાલોની ઝડી વરસાવી હતી. ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં રેતીની લીઝ ફાળવવાની છે, તે ગામમાં લોકસૂનાવણી ન રાખીને અન્ય ગામે કેમ યોજવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોકસૂનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી નહોતી તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રકારનો પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવ્યો ન હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ રેતીની લીઝ બાબતે ગ્રામસભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે અનુસૂચિ પાંચ હેઠળ આવતા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીની લીઝની ફાળવણી કરવામાં આવી રહી છે, જે એક મોટા ષડયંત્રની આશંકા ઉભી કરે છે. આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તેમજ પ્રાંત અધિકારી સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના સવાલો અને હોબાળાને કારણે લોકસૂનાવણીની પ્રક્રિયા શરૂઆતમાં જ અટકી ગઈ હતી. પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતાં સરપંચ અને સ્થાનિક આગેવાનોએ લોકસૂનાવણી રદ કરવાની માગ ઉઠાવી હતી.
જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક:વીજળી અને પંપિંગની સમસ્યાના કારણે પાણી ન અટકે તે જોવા તાકીદ
ભરૂચ કલેકટર કચેરીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ બેઠક યોજાઇ હતી. જિલ્લામાં અમલમાં રહેલી જળ જીવન મિશન તેમજ સ્વચ્છ ભારત મિશન (જી) ફેઝ–2 અંતર્ગતની યોજનાઓ અને વિવિધ પાણી પુરવઠા યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પાણી પુરવઠા યોજનાઓની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ કક્ષાના પ્રશ્નો, હેન્ડઓવર ન થયેલી યોજનાઓ, સંચાલન સંબંધિત અડચણો તેમજ વીજળી અને પંપિંગ મશીનરીના કારણે બંધ રહેલી યોજનાઓ અંગે ચર્ચા કરી યોગ્ય સૂચના આપી હતી. તેમજ ઓપરેટરની નિમણૂક, માનદવેતન, ઓપરેટર એપ લોગીન તેમજ તેમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત હર ઘર સર્ટિફિકેશન, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી. શાળા અને આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા, પાણી ગુણવત્તા ચકાસણી અને એફટી કે તરફથી ટેસ્ટિંગ પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી. પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો અને તેના નિવારણ, સ્રોત ટકાઉપણું ની કામગીરી અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાસ્કર નોલેજ:ભરૂચમાં 39.99 કરોડના ખર્ચે 166ગ્રામ પંચાયત કચેરીઓ નવી બનશે
ભરૂચ જિલ્લામાં પહેલા 109 અને ત્યાર બાદ 57 મળી કુલ 166 ગ્રામ પંચાયત નવી બનાવવા માટે મંજૂરી મળી છે. ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી 10 એજન્સીઓને ટેન્ડર મળ્યા છે. જેમાથી 60 ગ્રામ પંચાયત બનાવવા માટે વર્ક ઓડર આપી દેવામાં આવ્યા છે. આમ 166 ગ્રામ પંચાયત અંદાજે 39.99 કરોડથી વધુના ખર્ચે બનશે. જિલ્લામાં આવેલી મોટા ભાગની ગ્રામ પંચાયત વર્ષો જૂની હોવાના કારણે જર્જરિત બની હતી. જેનું નવીનીકરણ માટે જિલ્લા પંચાયતે રજૂઆત કરતાં પહેલા 109 જેટલી ગ્રામ પંચાયત બનવા માટે મંજૂરી મળી હતી. ત્યારબાદ નવી 57 જેટલી ગ્રામ પંચાયતની મંજૂરી મળતા ભરૂચ જિલ્લામાં કુલ 166 ગ્રામ પંચાયતનું નવીનીકરણ અંદાજે 39.99 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં 10 એજન્સીઓને ટેન્ડર મળ્યા હતા. હાલ 60 ગ્રામ પંચાયત બનાવવા માટે વર્ક ઓડર આપી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ગ્રામ પંચાયત માટે એજનશીએ ડિપોઝીટ ભરવાની બાકી હોવાને કારણે હજુ વર્ક ઓડર આપવામાં આવ્યા નથી. ડિપોઝિટ ભરી દેતા વર્ક ઓડર આપી દેવામાં આવશે. વર્ક ઓડર આપ્યા બાદ 6 મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પંચાયત બનવામાં માટે ની મૂળ રકમમાથી 18 ટકા જીએસટી ભરીને બાકીની રકમ થી એજનશિ ગ્રામ પંચાયત બનાવશે. વસ્તી મુજબ યુનિટ કોસ્ટ નક્કી કરવામાં આવ્યો હતોજિલ્લામાં સૌથી જંબુસરમાં 37 ગ્રામ પંચાયતનું નવીનીકરણ કરવામાં આવશે. 157 ગ્રામ પંચાયત રૂપિયા 25 લાખ, આઠ ગ્રામ પંચાયત રૂપિયા 34.83 લાખના ખર્ચે અને સૌથી વધુ 40 લાખના ખર્ચે કાવી ગ્રામ પંચાયત નું નવીનીકરણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં કુલ 166 ગ્રામ પંચાયતનું નવીનીકરણ કરવામાં આવશે. જેને માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં વસ્તી મુજબ ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. સૌથી થી વધુ રૂ.40 લાખના ખર્ચે કાવી પંચાયત બનશે5 હજાર સુધી વસ્તી હોય તે ગ્રામ પંચાયત બનાવવા માટે રૂપિયા 25 લાખ, 5 થી 10 હજારની વસ્તી હોય તો રૂપિયા 34.83 લાખ અને 10 હજારથી વધુ વસ્તી હોઈતો 40 લાખ નક્કી કરવામાં આવ્યા હતા.
દિનેશ વસાવા |નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકાનું વિભાજન કરી ચિકદાને અલગ તાલુકાનો દરજજો આપવામાં આવ્યો છે પણ અહીં હજી સ્ટાફના અભાવે સરકારી કચેરીઓ કાર્યરત નહિ થતાં લોકોને સરકારી કામકાજ માટે 35 થી 40 કીમી દૂર દેડિયાપાડા સુધી જવું પડે છે. ચિકદાથી દેડિયાપાડા આવવા તથા જવામાં ત્રણથી ચાર કલાકનો સમય બગડી રહયો છે તેમજ એસટી બસમાં 60 અને ખાનગી વાહનોમાં 70 રૂપિયા ભાડુ ખર્ચવાની ફરજ પડી રહી છે. ચિકદાના ગ્રામ પંચાયત ભવનમાં મામલતદાર કચેરી તથા આરોગ્ય સબ સેન્ટરમાં તાલુકા પંચાયતની કચેરી હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવી છે. બે મહિના પહેલાં આ બંને કચેરીઓ કાર્યરત કરવામાં આવી હોવા છતાં સ્ટાફના અભાવે અરજદારોને હજી દેડિયાપાડા સુધી ધકકા ખાવાની ફરજ પડી રહી છે. દિવ્યભાસ્કરની ટીમે અરજદારોને પડતી હાલાકીના સંદર્ભમાં મામલતદાર કચેરીની વાસ્તવિકતાની તપાસ કરવામાં આવી હતી. જેમાં ત્યાં ફક્ત એક પટાવાળો હાજર હતો. જ્યારે મામલતદાર કે નાયબ મામલતદાર વગેરે ના ટેબલો ખાલીખમ જોવા મળ્યા હતા. જરૂરી કર્મચારીઓ હાજર ન રહેતા ત્યાં કોઈ અરજદાર પણ હાજર નહોતાં. આરોગ્યના સબ સેન્ટર ખાતે શરૂ કરાયેલી તાલુકા પંચાયતની કચેરીમાં મુલાકાત દરમ્યાન ચાર્જમાં આવેલા ક્લાર્ક તેમજ એક પટાવાળા હાજર હતા. જ્યારે અન્ય ટેબલો પર ખુરશીઓ ખાલી જોવા મળી હતી. બંને કચેરીઓમાં ફક્ત ટેબલો અને ખાલી ખુરશીઓ જોવા મળી હતી. બે મહિનાથી બીએસએનએલનું જોડાણ મળ્યું ન હોવાથી કામગીરી અટકી પડીચિકદા મામલતદાર કચેરીની પ્રાથમિક સુવિધાની અછત અને સ્ટાફ બાબતે ઈનચાર્જ મામલતદાર એસ વી વિરોલા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું તે બીએસએનએલની કનેક્ટિવિટી ન મળી હોવાને કારણે ગુજરાત સરકારની જીસ્વાન સેવા હાલ ચાલુ કરી શકાય એમ નથી જેને કારણે તમામ જન સેવા કેન્દ્રની કામગીરી હાલ ડેડીયાપાડા ખાતે જ કરવામાં આવે છે. કનેક્ટિવિટી મળશે એટલે ચીકદા કચેરીમાં કામગીરી ચાલુ થઈ જશે. 22 ગ્રામ પંચાયત અને 67 ગામનો સમાવેશ કરાયોદેડિયાપાડામાંથી અલગ ચિકદા તાલુકાની રચના કરવામાં આવી છે.નવરચિત ચીકદા તાલુકામાં 22 ગ્રામ પંચાયતો તથા 67 ગામો મળીને કુલ વસ્તી 58,935 છે. તેમજ કુલ 77 પ્રાથમિક, 9 માધ્યમિક શાળાઓ અને 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ 83 આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે
ફરિયાદ:પતિની હત્યા કરનાર પત્ની સહિત 2ને આજીવન કેદ
ઘોઘંબા તાલુકાના લાબડાધરા ગામે સોપારભાઈ રાઠવા તેની સાસરીમાં તેની પત્ની જયા ઉર્ફે અનીને તેડવા ગયો હતો. ત્યારે તેની પત્નીએ જણાવેલ કે,હું તારા ઘરે આવવાની નથી અને છુટાછેડા લઇ લેવાની છું તેમ કહી તેના પતિને ઝાપટ મારી હતી. ત્યારે અમરસીંગ રાઠવા, ગુજલી રાઠવા કહેલ કે, મારી છોકરી જયાના લગ્ન પર દાવાના રૂા. 1 લાખ 7 હજાર લીધા છે. તે અમો જમીન વેચીને પણ પાછા આપી દેશુ. પરંતુ તમારા ઘરે મારી છોકરી મોકલવાની નથી. તેમજ સોપારભાઇની પત્નીના પ્રેમી મહેશ રાઠવાએ સોપારભાઇને ફોનમાં ધમકી આપી હતી. ત્યારબાદ રાત્રીના તેની સાસરીમાં તેની પત્નીને તેડવા સોપારભાઇ રાઠવા જતા તમામે ભેગા મળીને ગુનાહિત કાવતરુ રચી સોપારભાઇને માર મારી ઢસડીને પ્લાસ્ટીકના દોરી વડે ગળાફાંસો આપી મોત નિપજાવી પુરાવાનો નાશ કરવા સારૂ લાશને મહુડાના ઝાડની ડાળીએ લટકાવી દીધો હતો. જેની રાજગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે બાબતે પંચ.ના ત્રીજા એડી. સેશન્સ જજ હાલોલ કોર્ટમાં કેસ ચાલી જતાં રેકર્ડ ઉપર જે પુરાવો મદદનીશ સરકારી વકીલ આર. એમ. ગોહીલે ફરીયાદી, પંચો અને સાહેદો ફરી ગયેલા સાહેદો તરીકે જાહેર કર્યા હતાં. પરંતુ મદદનીશ સરકારી વકીલ દ્વારા લેવાયેલ ડોક્ટરની જુબાની, પોલીસની જુબાની અને સાંયોગીક પુરાવાઓને આધારે આરોપી જયાબેન રાઠવા તથા આરોપી અમરસિંગ રાઠવાને આજીવન કેદ, રૂા.25,૦૦૦ના દંડની શિક્ષાનો હુકમ કર્યો છે.
ભાસ્કર ઈનસાઈડ:દાહોદના ચાર દાળ-મિલના વેપારીઓ સાથેપાદરાના બે ઠગ દ્વારા ~35.91 લાખની ઠગાઈ
દાહોદ શહેર નજીક ખરેડી GIDC વિસ્તારમાં આવેલી દાળ અને અનાજ મીલો સાથે લાખો રૂપિયાની ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વડોદરાના પાદરાના બે શખ્સોએ મુરલીધર એન્ટરપ્રાઇઝ’ના નામે વેપાર બતાવી નાની લેવડદેવડ કરી વિશ્વાસ સંપાદન કર્યો. ત્યાર બાદ 4 મિલમાંથી ઉધારમાં 35.91 લાખ રૂપિયાનો અનાજ લઈ રૂપિયા ચૂકવ્યા વગર ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. દાહોદના ગોદી રોડ પર રહેતા અને રાજ ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા વેપારી મુફદ્દલ કથીરીયા પાસે 1 સપ્ટેમ્બરે દિલીપ શ્રીવાસ્તવ અને જગદીશ પુરોહિત નામના શખ્સો આવ્યા હતા. બંનેએ પાદરાની મુરલીધર એન્ટર.ના ભાગીદાર હોવાનું કહી ચણા દાળ અને બેસનનો મોટો ઓર્ડર આપ્યો હતો. વિશ્વાસ જીતવા શરૂઆતમાં રોકડ પેમેન્ટ કર્યા બાદ તેઓએ રૂા.7.96 લાખનો માલ ઉધાર લીધો હતો. આ પેમેન્ટ માટે આપેલો ચેક બેંકમાંથી ‘એકાઉન્ટ ક્લોઝ'ના શેરા સાથે પરત ફર્યો હતો. વેપારીએ ઉઘરાણી કરતા આરોપીઓએ ધમકી આપી ફોન બંધ કરી દીધા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ ટોળકીએ રાજ ઇન્ડસ્ટ્રીઝ સિવાય ખરેડી વિસ્તારમાં રોહીની પલ્સિસ એન્ડ ફૂડ્સ પ્રા.લિ.માંથી રૂા.782040નો ઘઉંનો લોટ, લક્ષ્મી નારાયણ પલ્સ મીલમાંથી રૂા.12,14,400ની તુવેર દાળ તથા દેલસર સ્થિત અરિહંત ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂા.7,98,000ની તુવેર દાળ ઉધારમાં લઈ તેની પણ ચુકવણી કરી નહોતી. ચારેય મિલમાંથી કુલ રૂા.35.91 લાખની ઠગાઈ મામલે મુફદ્દલભાઇની ફરિયાદના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. GST નંબર લેવા મોબાઇલ નંબરનો દુરુપયોગ કરાયોસુરતના હિરા ઉદ્યોગના મજુરનો મોબાઇલ નંબર આપ્યો દાહોદની 4 મિલોમાંથી માલ લઇને ગાયબ થયેલા યુવકોએ આપેલા જીએસટીએન નંબરની ઓનલાઇન વિગતો તપાસતા તેમાં મહાવીરસિંહ ચૌહાણ નામનો ઇ-મેઇલ આઇડી મળી આવ્યો હતો. જોકે, તેમાં લખેલા નંબર ઉપર ફોન કરતાં તે નંબર મહાવીરસિંહનો નહીં બલકે સુરતના હીરા ઉદ્યોગમાં મજુરી કામ કરતાં મહીપતસિંહનો હોવાનું સામે આવ્યું હતું. મહિપતસિંહ મુરલીધર એન્ટરપ્રાઇઝ વિશે જાણતો જ નથી. જીએસટીએન નંબર લેવા તેના મોબાઇલ નંબરનો દુરુપયોગ કરાયો હતો. પાદરામાં ગોડાઉનનું ભાડૂ પણ ના આપ્યું દીલીપ શ્રીવાસ્તવ અને જગદીશ પુરોહિતની ઓળખ આપનાર યુવકોએ પાદરામાં ગોડાઉન ભાડે રાખ્યું હતું. બંને આ ગોડાઉન માલિકને બાકી ભાડુ આપ્યા વગર તે બંધ કરી રાતોરાત ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યુ છે.
ગ્રામીણ નારી શક્તિ:વેલણવાડા ગામે દેરાણી- જેઠાણી પશુપાલનથકી વાર્ષિક રુ 25 લાખની આવક મેળવી
ગ્રામીણ નારી શક્તિ આજે આર્થિક રીતે સદ્ધર બની રહી છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહીસાગર જિલ્લાના વેલણવાડા ગામના શિલ્પાબેન પટેલ અને તારાબેન પટેલ નામની દેરાણી-જેઠાણીની જોડીએ પશુપાલન ક્ષેત્રે એવી સફળતા હાંસલ કરી છે. આ મહિલાઓ માત્ર પશુપાલન દ્વારા વાર્ષિક 25 લાખની આવક મેળવે છે. મહિલાઓ જણાવે છે કે, 30 વર્ષ પૂર્વે આ વ્યવસાયની શરૂઆત માત્ર 1 ગાયથી કરી હતી. શરૂઆતમાં માત્ર બે ગાયો હતી. ત્યારે ઘરનું ગુજરાન ચલાવવું અને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો અત્યંત પડકારજનક હતો. પરંતુ હિંમત હાર્યા વગર, તેમણે પશુપાલનની યોજનાનો લાભ લીધો. પોતાની મહેનતે આજે 27 ગાયો અને 15 વાછરડીઓ સાથે એક વિશાળ તબેલાનું નિર્માણ કર્યું છે. તેમની આર્થિક સિદ્ધિઓ પણ એટલી જ પ્રભાવશાળી છે, તેઓ પંચામૃત ડેરીમાં દરરોજ 280 લિટરથી વધુ દૂધ ભરાવે છે. દૂધના વેચાણ દ્વારા તેમને દર 10 દિવસે અંદાજે 80 હજાર રૂપિયાનો પગાર મળે છે. આ વ્યવસાયિક સફળતાના પરિણામે તેમણે નવું પાકું મકાન બનાવ્યું છે અને બાળકોની જવાબદારીઓ પણ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી છે. તેમની દૂધની ગુણવત્તાને કારણે તેમણે તાલુકા, જિલ્લાએ હરીફાઈમાં ઈનામો પણ જીત્યા છે. દેરાણી- જેઠાણી અને તેમના પતિઓ એમ ચારેય સભ્યો હળીમળીને તબેલાનું સંચાલન કરે છે. વેલણવાડાની બે મહિલાઓના ઉમદા કાર્યથી પ્રેરાઈને આજે અન્ય સ્ત્રીઓ પણ પશુપાલન તરફ વળી છે. આજે સ્થિતિ એવી છે કે આખું ગામ દૈનિક 1300 લિ. જેટલું દૂધ ડેરીમાં ભરાવે છે.
સારવાર:સગર્ભાનુ બીપી વધી ગયુ, 108ની ટીમે નોર્મલ ડિલીવરી કરાવી
જિલ્લા 108ની ટીમ દ્વારા સર્ગભાનુ બીપી વધી ગયુ ને જે જોખમી ડિલીવરી હતી તે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ નોર્મલ કરી હતી. હાલ માતા- બાળકની તબીયત સ્વસ્થ છે. મોનપરી ગામે રહેતા એક બેનને ડિલિવરીનો દુઃખાવો થવાથી 108માં કોલ કર્યો હતો. કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સના ઇએમટી કેતન બાકોત્રા, પાયલોટ હરેશ દવે તુરંત મોનપરી પહોંચ્યા હતા. પરંતુ સગર્ભા મહિલાને ડિલિવરીનો દુઃખાવો હોવા થી ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરવી પડે તેવી સ્થિતી હતી. મહિલાને બ્લપ્રેશરની તકલીફ હોવાથી જોખમી ડિલિવરી હતી પરંતુ 108ની ટીમે હેડ ઓફીસમાં ફોન કરી એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલીવરી કરતા માતા- બાળકની તબીયત સ્વસ્થ રહી હતી.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી અભિયાન હેઠળ 6 જગ્યાએ 6 સખી મંડળ દ્વારા વૃક્ષોનું જતન કરાશે.જેમાં મનપા દ્વારા 6 સખી મંડળની બહેનોને મનપા રૂપિયા 11.31 લાખ ચૂકવવામાં આવશે. પોરબંદર મહાનગર પાલીકા દ્વારા ગુજરાત શહેરી વિકાસ જી.યુ.એલ.એમ. ગાંધીનગરના સંયુકત ઉપક્રમે વુમન ફોર ટ્રી અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે પ્રોજેકટ હેઠળ એન.યુ.એલ.એમ. યોજના હેઠળ રચાયેલ સ્વસહાય જુથો દ્વારા આ વૃક્ષોનું વાવેતર કરી 6 માસ માટે જતન કરવામાં આવશે આ કાર્યક્રમ હેઠળ પોરબંદર મહાનગરપાલીકા દ્વારા હાલ 6 પ્રોજેકટ મંજુર થયેલ છે. મહાનગરપાલીકા દ્વારા મહાનુભાવો તથા સ્વસહાય જુથોના બહેનો મારફત લક્ષ્યાંક મુજબ 650થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. કઈ કઈ જગ્યાએ કેટલાના ખર્ચે વૃક્ષોનું વાવેતર કરાશે(1)બી.એસ.યુ.પી. આવાસ યોજના-રૂ.2.07 લાખના ખર્ચે (2)શિવાજી પાર્ક અને ઓસેનીક ગાર્ડન-રૂ.2.31 લાખના ખર્ચે (3)બ્રહ્માકુમારી ગાર્ડન-રૂ.2.31 લાખના ખર્ચે (4)બોખીરા STP-રૂ.2.31 લાખના ખર્ચે (5)રતનપર STP-રૂ.2.31 લાખના ખર્ચે (6)રતનપર ચોકડી વોટર વર્કસ-રૂ.2.07 લાખના ખર્ચે
વિજાપુર શહેરમાં બસ સ્ટેશનની સામે અને નગરપાલિકાની પડખે રૂ.1.84 કરોડના ખર્ચે બનાવેલા બંને શોપિંગ કોમ્પલેક્ષ બબ્બે વખતની હરાજી પછી પણ કોઇ દુકાન લેનાર નહીં મળતાં ધૂળ ખાતાં પડ્યાં છે. દુકાન વેચાણની અપસેટ વેલ્યુ ખૂબ જ ઊંચી થતાં બસ સ્ટેશન પાસેનું છેલ્લા 13 વર્ષથી અને પાલિકા પાછળનું શોપિંગ છેલ્લા 9 વર્ષથી જૈસે થે હાલતમાં છે. વિજાપુર નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન સામે 2012-13માં રૂ.એક કરોડના ખર્ચે 60 દુકાનોનું શોપિંગ બનાવ્યું હતું. જે પૈકી 31 દુકાનો નક્કી થયેલી રૂ.4.12 લાખની અપસેટ વેલ્યુ પ્રમાણે વેચાઈ હતી. જ્યારે ઉપરના માળે 29 દુકાનોમાં વેપારીઓએ રસ ન દાખવતાં છેલ્લા 13 વર્ષથી વેચાયા વિના પડી છે. જ્યારે પાલિકાની પાછળ 2015-16માં રૂ. 84 લાખના ખર્ચે 26 દુકાનોનું કોમ્પ્લેક્સ બનાવ્યું હતું. આ કોમ્પ્લેક્સમાં પણ પ્રથમવાર રૂ.32 લાખ અને બીજી વાર રૂ.25 લાખ અપસેટ વેલ્યુ નક્કી થતાં બબ્બે વખત હરાજી કરવા છતાં અપસેટ વેલ્યુની ઊંચી કિંમત હોવાથી એક પણ દુકાન વેચાઈ ન હતી. બંને શોપિંગમાં બે-ત્રણ વખતની હરાજીમાં એક પણ દુકાન ન વેચાતાં પાલિકા માટે બોજારૂપ સાબિત થયેલા આ બંને કોમ્પ્લેક્સની ફરીથી નીચી કિંમતની અપસેટ વેલ્યુ કઢાવવા તજવીજ કરાઇ છે. મહેસાણાના નગર નિયોજક દ્વારા અપસેટ વેલ્યુ નક્કી કરાયા બાદ આગામી દિવસોમાં ફરીવાર તેની હરાજી કરી વેચાણ પ્રક્રિયા કરાનાર છે. પાલિકાના કોમ્પ્લેક્સમાં 30 લાખનીદુકાન, સામે 20 લાખમાં મળી જાય છેવિજાપુર નગરપાલિકા દ્વારા પાછળના ભાગમાં બનાવેલ બે માળના શોપિંગ કોમ્પલેક્ષની એક દુકાનની અપસેટ વેલ્યુ રૂ.30 લાખ નક્કી થયા બાદ હરાજી થઈ હતી. પરંતુ પાલિકાના કોમ્પ્લેક્સની સામે જ નીચેના માળે દુકાન રૂ.20 લાખમાં મળતી હોવાથી પાલિકાની દુકાનો વેચાણ વિના પડી રહી છે.
અમદાવાદના સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ અંતે તોડી પડાશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે. બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેક્નોલોજી અને ટ્રાફિકના વધતા ભારણના કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાશીધો આજે 24 ડિસેમ્બર, બુધવાર બપોરે સત્તાવાર જાહેરાત કરશે. ગઈ 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. જે બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. કન્સલ્ટન્ટ એજન્સીઓએ રિપોર્ટમાં ત્રણ વિકલ્પ સૂચવ્યાદરમિયાન કન્સલ્ટન્ટ એજન્સીઓએ 23 ડિસેમ્બર, મંગળવારે તેમનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો હતો. જેમાં મુખ્ય ત્રણ પ્રકારના સોલ્યુસન સૂચવવામાં આવ્યા છે. જેમાં એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો છે. જ્યારે બીજો વિકલ્પ બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે તે સ્પાનની નીચે વધારાનો એક પિલ્લર ઉભો કરીને મજબૂતાઈ આપવાનો છે. જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજનું ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારી સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરવાનો છે. જોકે નાગરિકોની સલામતી અને શહેરના વિકાસને ઘ્યાનમાં રાખી લાંબાગાળા પ્લાનિંગ મુજબ જૂના બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનો જ બેસ્ટ વિકલ્પ છે. આ પણ વાંચો:- અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના સ્પાનનો ભાગ બેસી ગયો, વાહનચાલકોએ દધીચિ બ્રિજનો ઉપયોગ કરવો નવો સુભાષ બ્રિજ મોટો અને પહોળો બનાવાશેસૂત્રોના જણાવ્યા મુજબ કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવેલા ત્રણેય વિકલ્પમાં તંત્રને સૌથી સારો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. કેમ કે સુભાષ બ્રિજ જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને આયુષ્ય 50 વર્ષનું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ડિઝાઈન પણ નવા જમાનાનાં ટ્રાફિકને અનુરૂપ નથી. આવી સ્થિતિમાં રિપેરિંગ કરવા કરતા સુભાષ બ્રિજને હવે મોટો અને પહોળો બનાવવામાં આવશે. રાજ્ય સરકાર કે કોર્પોરેશન જોખમ કે જવાબદારી લેવા તૈયાર નથીઆ ઉપરાંત રાજ્ય સરકાર અને ભાજપના સત્તાધીશો મોરબી અને ગંભીરા દુર્ઘટના બાદ બ્રિજમાં કોઇ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સુભાષબ્રિજને પણ રિપેર કરાવવાનું જોખમ કે જવાબદારી લેવા તૈયાર નથી. તેની જગ્યાએ નવો અને હયાત જગ્યાનો ઉપયોગ કરીને ફોરલેન સુભાષ બ્રિજ બનાવવામાં આવે આવી શકે છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સને જોઈને લાંબા ગાળાનું આયોજનઅમદાવાદ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેમજ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાન પદ માટે દાવેદારી કરી રહ્યું છે ત્યારે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે. બ્રિજને હાલ રિપેરિંગ કરીને કામ ચલાવી લેવામાં આવે અને ભવિષ્યમાં ન કરે અને કોઈ દુર્ઘટના સર્જાય તો અમદાવાદની શાખ પર મોટી અસર થઈ શકે તેમ છે. આ માટે તંત્ર લાંબાગાળાના આયોજનને લઈને જૂના બ્રિજને તોડી પાડવાના મૂડમાં છે. સાબરમતી નદીના પાણીમાં નવો બ્રિજ બનાવતા દોઢ-બે વર્ષ લાગી શકેનવો બ્રિજ બનાવવામાં સૌથી મોટી ચેલન્જ પાણીની આવવાની છે. સાબરમતી રિવરફ્રન્ટમાં બારે માસ પાણી ભરેલું હોય છે. પાણી વચ્ચે બ્રિજ બનાવવો સૌથી મોટી ચેલેન્જ છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવો બ્રિજ નવી ટેક્નોલોજીથી બનાવવામાં આવશે અને તેમજ પહોળો અને નવા ટ્રાફિકના ફ્લો મુજબનો હશે. શું છે સમગ્ર મામલો?અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો અને શહેરનો પ્રવેશ દ્વારા કહેવાતા એવા 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને 4 ડિસેમ્બરની સાંજે 6 વાગ્યા આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજના બંને તરફનો એક સ્પાનનો ભાગ બેસી જવાને કારણે બ્રિજ મધ્ય ભાગમાંથી બેસી જવા અને તિરાડ પડવાને કારણે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જોકે, રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરી હતી. જોકે, AMCના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના અચાનક સાંજે છ વાગ્યાની આસપાસ પીક અવર્સમાં જ બ્રિજ બંધ કરાતા નારાયણ ઘાટ અને સુભાષ બ્રિજ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી હતી જેમાં સોનગઢ અને અમદાવાદ શહેરમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીના બે વણઉકેલાયા ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સોને કુલ રૂ.11,71,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ LCBની ટીમ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સો સોનગઢ-જીંથરી રોડ પર તોરણ હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભા છે પોલીસે રેઈટ કરી વિનોદ ઉર્ફે ઇગુડો ઉર્ફે ગોવિંદ સરવૈયા મુખ્ય આરોપી, જેની સામે અગાઉ રાજકોટ, અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર, બનાસકાંઠા અને ગીર સોમનાથમાં 9 જેટલા ગુના નોંધાયેલા છે જયારે કિશન ઉર્ફે મુંગો મુકેશભાઇ પરમાર, હિરૂબેન ગુમાનભાઇ પરમાર મુદ્દામાલ છુપાવવામાં અને વેચવામાં મદદ કરનાર (મહિલા આરોપી)ને હાજર થવા સમજ આપી હતી. ચોરી કરવાની પદ્ધતિ (Modus Operandi) પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓ બપોરના સમયે અથવા રાત્રે બંધ મકાનોની રેકી કરતા હતા. સોનગઢમાં બપોરે બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી હતી, જ્યારે અમદાવાદના સોલા વિસ્તારમાં બંગલાની બારી તોડીને અંદર પ્રવેશ કરી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી.કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલપોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, રોકડ અને વાહન સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી છે: પોલીસે રોકડ રૂ. 1,42,000, સોનાના દાગીના ઓમાં મંગળસુત્ર, સોનાની પહોંચી, બુટ્ટી, વીંટી અને સોનાનો ઢાળીયો મળી કુલ કિંમત આશરે રૂ.9.76 લાખ, મોટર સાયકલ હોન્ડા શાઇન કિંમત રૂ. 50,000, મોબાઇલ ફોન કિં.રૂ.500 તથા ફાસ્ટટ્રેક ઘડિયાળ કિં.રૂ.3,000 સહિતનો કુલ રૂપિયા 11,71,600 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, આરોપીઓએ ચોરીના દાગીના પાલીતાણાના એક શખ્સ પાસે ઓગળાવી નાખ્યા હતા. હાલમાં ભાવનગર LCB દ્વારા તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોનગઢ પોલીસને સોંપવામાં આવ્યા છે અને અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
આજના ટેકનોલોજીના યુગમાં હવે ગુનેગારો માટે બચવું મુશ્કેલ બન્યું છે, તાજેતરમાં પોલીસે જુગાર રમતા શખ્સોને પકડવા માટે જે રીતે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો, તે જોઈને આસપાસના લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. જાણે કોઈ એક્શન ફિલ્મનો સીન ચાલતો હોય તેમ પોલીસે આધુનિક ટેકનોલોજીની મદદથી જુગારીઓને દોડાવ્યા હતા, પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમુક ઈસમો મોતીતળાવ ગ્રાઉન્ડની પાછળ આવેલી દિવાલ પાસેના ખાર વિસ્તારમાં જુગાર રમી રહ્યા છે પોલીસ ટીમે સીધી રેડ કરવાને બદલે પક્ષીની નજર રાખવા માટે આકાશમાં ડ્રોન વહેતું કર્યું હતું જેવો આકાશી કેમેરો જુગારીયાઓ પર મંડાયો, કે તરત જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી, ફિલ્મી સીન જેવો નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે કેટલાક જુગારીઓ ઉભી પૂંછડીએ પાળા પર દોડવા લાગ્યા, તો કેટલાક પકડાઈ જવાની બીકે સીધા પાણીના પાળામાં કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અંતે ત્રણ ઈસમો ઝડપાયા હતા જયારે 5 નાસી છૂટવામાં સફળ રહ્યા હતા,ગત તા.22/12/2025 ના રોજ ભાવનગર એલ.સી.બી.નો સ્ટાફ શહેરના વિસ્તારોમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, મોતીતળાવ ગ્રાઉન્ડની પાછળ આવેલી દિવાલ પાસેના ખાર વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી અહીં કેટલાક ઇસમો ગંજીપત્તાના પાના-પૈસા વડે 'હાર-જીત'નો હાથકાંપનો જુગાર રમી રહ્યા હતા, પોલીસે સ્થળ રેઇટ કરતા પોલીસને જોઈ જુગારીઓ ભાગો... પોલીસ...આવી ભાગો કરતા જુગાર રમતા ત્રણ ઇસમોની ઝડપાયા હતા જેમાં જાહિદ ઉર્ફે મૌલાના અલીભાઇ સીદાતર ઉ.વ.36, રહે.નવાપરાદિલીપ મફાભાઇ થારતિયા ઉ.વ.47, રહે.કુંભારવાડા તથા ઇમ્તિયાઝ રસુલભાઇ શમા ઉ.વ.26, રહે.વડવા નેરા વાળાઓને ઝડપી લીધા હતા જયારે 5 ઈસમો નાસી છૂટ્યા હતા જેમાંઇરફાન ઉર્ફે પાનીયો અશરફભાઇ સુમરા, અકરમ ઉર્ફે ભોપો અશરફભાઇ સુમરા, નજીર રહીમભાઇ શેખ, આરીફ ઉર્ફે ચીનો બકાલી તથા યાસીન ઉર્ફે બાવકો તૈયબાણી પોલીસ ને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા, જુગાર ના પટ માંથી પોલીસે રોકડા રૂપિયા 37,900 તથા અન્ય સામગ્રીમાં ગંજીપત્તાના પાના અને લીલા કલરની નેટ ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રોકાણના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઠગોએ નવો કીમિયો અપનાવી યુવક પાસે પૈસા પડાવ્યા છે. shaadi.com પર જીવનસાથીની શોધ કરી રહેલા યુવકને સાઇબર ઠગ મળ્યા હતા. યુવતીના પ્રોફાઇલના આધારે વિશ્વાસમાં લઈ શેરબજારમાં રોકાણ કરાવ્યું અને અંતે યુવક પાસેથી કુલ 16 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ મામલે અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકે યુવતી સાથે વાતચીત કરી ને ફસાયોગોતામાં રહેતા અર્પણ સોની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં નોકરી કરે છે. તે શેરબજારની સારી સમજ ધરાવતા હોવાથી તેમાં રસ રાખતો હતો. તેના લગ્ન ન થયા હોવાથી તેઓ shaadi.com પર યોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા હતા.shaadi.com પર સર્ચ દરમિયાન અર્પણને ‘રાશી’ નામની યુવતીની પ્રોફાઇલ મળી હતી, જે પ્રીમિયમ મેમ્બર તરીકે દર્શાવવામાં આવી હતી. તેથી અર્પણે તેને રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં બંને વચ્ચે સંપર્ક શરૂ થયો હતો. 16 લાખ રૂપિયાનું રોકાણ કરાવીને છેતર્યોવાતચીત દરમિયાન રાશીએ શેરબજારમાં વધુ નફો કમાવાની વાતો કરી અર્પણને રોકાણ માટે જણાવ્યું હતું. તેની વાતોમાં આવી ગયેલા અર્પણે કુલ 16 લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું હતું. બાદમાં જ્યારે અર્પણે પોતાના પૈસા ઉપાડવા માટે રિક્વેસ્ટ કરી ત્યારે બીજી એક યુવતીએ સંપર્ક કરી જણાવ્યું હતું કે રકમ ઉપાડવા માટે 20 ટકા સર્વિસ ચાર્જ ભરવો પડશે. આ શરત સાંભળતા જ અર્પણને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની શંકા ગઈ હતી. ત્યારબાદ તેણે તાત્કાલિક અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સરકારી વીમાં કંપની-ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીના સુરેન્દ્રનગરના બ્રાન્ચ મેનેજર સંકેત વાઘેલાએ કંપનીના ખાતામાંથી સાડા છ કરોડ રુપિયાના માતબાર રકમને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે. આટલી મોટી ઉચાપત થયાની જાણ થયા બાદ કંપનીએ આ અધિકારીને સસ્પેન્ડ કરી દીધો છે. જો કે, સૌથી વધુ આશ્ચર્ય અને આંચકાજનક વાત એ છે કે, તેમને સસ્પેન્ડ કરાયો એના માત્ર એક દિવસ પહેલા જ તેમને સારા પરફોર્મન્સ માટે ટ્રોફી અપાઈ હતી. બ્રાન્ચ મેનેજરે સાડા છ કરોડને પોતાના ખાતામાં નાખ્યાસંકેત વાઘેલા ઘણા સમયથી સુરેન્દ્રનગરની ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ગત 4થી ઓક્ટોબરે તેમને કંપનીના સીએમડીના હસ્તે તેમના સારા પરફોર્મન્સ માટે ટ્રોફી અપાઈ હતી તેમજ તેમનુ જાહેરમાં સન્માન કરાયુ હતુ. અન્ય કર્મચારીઓે તેમના આ સન્માનને તાલીઓના ગડગડાથી વધાવી લીધુ હતુ. ટ્રોફી સન્માનના ફોટા પણ સોસિયલ મીડિયા ઉપર મુકાયા હતાં. 4થી તારીખે શુનીવાર હતો. રવિવારે જાહેર રજા હતા. શનિવારે બેસ્ટ પરફોર્મન્સ માટે ટ્રોફી, મંગળવારે જ સસ્પેન્શનસોમવારે વાઘેલા નિયમિત રીતે ફરજ પર પણ આવ્યા હતા. ત્યાર બાદ મંગળવારે જ તેમને એકાએક સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ કાર્યવાહી પાછળનુ કારણે એવુ હતુ કે, બ્રાન્ચ મેનેજરે ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીના ખાતામાં જમા પૈકીમાંથી સાડ છ કરોડ રુપિયાની માતબાર રકમ પોતાના અંગત ખાતમાં ટ્રાન્સફર કરી દીધી હતી.જો કે, એ સિવાય આ અધિકારી સામે પોલીસ કેસ સહીતના અન્ય કોઈ કાર્યવાહી કરી હોવાની કોઈને ખબર નથી. ટ્રોફી આપ્યાના એક દીવસ પછી આ અધિકારી કૌભાંડી હોવાની ખબર પડીબ્રાન્ચ મેનેજરને સસ્પેન્ડ કરાયાની જાણ થયા બાદ કંપનીના અધિકારીઓ-કર્મીઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા કે,સાર પરફોર્મન્સ માટે ટ્રોફી આપી સન્માન કર્યાના બીજા જ દિવસે ખબર પડી કે આ બ્રાન્ચ મેનજર તો કૌભાંડીયો છે. ખુદ કંપનીના સીએમડી તેમનુ સન્માન કરવા આવ્યા હતા. શું આટલો ટાઈમમ કોઈને પણ તેના કૌભાંડ અંગે ખબર કેમ ન પડી તેવા પ્રશ્નો તેઓ એકબીજાને પૂછી રહ્યા છે. કંપનીના સીએમડીનું ઉચાપતના મુદ્દે ભેદી મૌનઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ એ સરકારની કંપની છે. તેમાં જમા થતા નાણા નાગરીકોના છે. બ્રાન્ચ મેનેજર કક્ષાની વ્યક્તિ સાડા છ કરોડ જેટલી રકમ બારોબાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી રહ્યો હોય અને છત્તા કંપનીના અન્ય જવાબદાર અધિકારીઓને કોઈ ખબર જ ન પડે તે બાબત પણ શંકા ઉપજાવે તેવી છે. નાણાની ઉચાપત બહાર આવ્યા બાદ મેનેજરને સસ્પેન્ડ કરાયો પરંતુ પોલીસ કેસ સહીતની અન્ય કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. આ સંદર્ભમાં કંપનીના સીએમડી દીવ્યા તેહલરામનનો અમે સંપર્ક સાધવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેઓએ ફોન ઉઠાવવાની કે કોઈ જ જવાબ આપવાની તસ્દી લીધી નથી. આ સંદર્ભમાં તેમને મેસેજ કરીને જવાબો પૂછ્યા હતા પરંતુ તેઓએ તેના કોઈ જ જવાબ આપવાની તસ્દી લીધી નહોતી.
ધ્રાંગધ્રામાં 'વુમન ફોર ટ્રી' અભિયાનનો પ્રારંભ:જોગાસર તળાવે સખી મંડળની બહેનોએ વૃક્ષારોપણ કર્યું
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા જોગાસર તળાવ ખાતે 'વુમન ફોર ટ્રી કેમ્પેઈન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અમૃત 2.0 મિશન અંતર્ગત આ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરાયું છે. ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા 'શહેરી વિકાસ વર્ષ-2025'ની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય DAY-NULM (નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન) હેઠળ કાર્યરત સ્વસહાય જૂથો અને સખી મંડળની મહિલાઓને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ સાથે જોડવાનો છે. આ કેમ્પેઈન હેઠળ માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવેલા છોડની લાંબા સમય સુધી કાળજી લેવાની જવાબદારી પણ આ મહિલા જૂથો નિભાવશે. ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. જોગાસર તળાવ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સખી મંડળની બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે તળાવના કાંઠે વિવિધ પ્રજાતિના વૃક્ષોનું રોપણ કર્યું અને પર્યાવરણના જતન માટે શપથ લીધા. આ પ્રસંગે નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મહિલાઓના હાથે થયેલું આ વૃક્ષારોપણ શહેરને હરિયાળું બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ્રાંગધ્રા નગરપાલિકાની અમૃત 2.0 ટીમ, NULM ટીમ અને નગરપાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓએ સક્રિય યોગદાન આપ્યું હતું. આ અભિયાનથી શહેરી વિસ્તારોમાં વનીકરણ વધવાની સાથે મહિલા સશક્તિકરણને પણ નવું બળ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અસરકારક બન્યો:11 મહિનામાં 396 ફરિયાદોનું નિરાકરણ થયું
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ અસરકારક રીતે અમલમાં મુકવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના “સરકાર પ્રજાના દ્વારે” મંત્રને સાકાર કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા વિઝનને અનુરૂપ, આ કાર્યક્રમ દ્વારા છેવાડાના નાગરિકોના પ્રશ્નોનું સીધું અને પારદર્શક નિવારણ શક્ય બન્યું છે. નાગરિકો પોતાના પડતર પ્રશ્નો સીધા જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરી શકે છે. આ કાર્યક્રમની અસરકારકતાનું એક જીવંત ઉદાહરણ જંબુસર તાલુકાના કાવી ગામના રહેવાસી ઈમ્તિયાઝ અહમદનો કિસ્સો છે. તેમનો લાંબા સમયથી પેન્ડિંગ રહેલો પ્રશ્ન કલેક્ટરની હાજરીમાં ઉકેલવામાં આવ્યો હતો. પ્રશ્નના નિવારણ બાદ ઈમ્તિયાઝ અહમદે સંતોષ વ્યક્ત કરતા જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 ના જાન્યુઆરીથી નવેમ્બર માસ દરમિયાન ભરૂચ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ હેઠળ કુલ 396 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. આ તમામ ફરિયાદોનો અસરકારક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દ્વારા ભરૂચ જિલ્લામાં લોકાભિમુખ, પારદર્શક અને જવાબદાર વહીવટનું મજબૂત મોડેલ ઉભું થયું છે. આનાથી નાગરિકોમાં વહીવટી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધારવામાં મદદ મળી રહી છે.
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો No Mapping અને Uncollectable (EF) કેટેગરીના મતદારોના પુરાવા જમા કરાવવા તેમજ ફોર્મ 6, 6અ, 7 અને 8 સંબંધિત માર્ગદર્શન પૂરું પાડશે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ સેન્ટરો કાર્યરત કરાયા છે. કુલ 11 સેન્ટરો પૈકી એક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે, એક થરાદ કલેક્ટર કચેરી ખાતે અને બાકીના નવ સેન્ટરો મતદાર નોંધણી અધિકારીઓની કચેરીઓ ખાતે કાર્યરત રહેશે. આ સેન્ટરો સવારે 10 થી સાંજે 6.10 વાગ્યા સુધી જાહેર રજાઓ સિવાયના દિવસોમાં ખુલ્લા રહેશે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતેના ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કમ હેલ્પ ડેસ્ક સેન્ટરનું ઉદ્ઘાટન નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલે રીબીન કાપીને કર્યું હતું. બનાસકાંઠાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.જી. નિનામાએ જણાવ્યું કે, આ સેન્ટરો દ્વારા No Mapping અને નવા મતદારો પોતાના દસ્તાવેજો જમા કરાવી શકશે. SIR (Special Intensive Revision) સંબંધિત કોઈપણ મૂંઝવણ માટે પણ અહીંથી માહિતી અને માર્ગદર્શન મળી રહેશે. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાં કુલ 26,24,952 મતદારો નોંધાયેલા છે. ડ્રાફ્ટ રોલમાં 24,05,325 મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2,19,627 ASD (Absent, Shifted, Dead) મતદારો નોંધાયા છે, જેમાં 65,122 મૃત્યુ, 21,291 ગેરહાજર અને 1,11,744 મતદારોનું કાયમી સ્થળાંતર થયું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્રતા ધરાવતો મતદાર યાદીમાંથી રહી ન જાય અને કોઈ પણ પાત્રતા ન ધરાવતો મતદાર યાદીમાં સામેલ ન થાય.
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ (CVM)ના ચેરમેન અને CVM યુનિવર્સિટીના સ્થાપક પ્રેસિડેન્ટ ભીખુ પટેલના 75માં જન્મદિન નિમિત્તે એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરને 'અમૃત પર્વ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ રક્તદાન શિબિરનું આયોજન CVM યુનિવર્સિટી, રેડ ક્રોસ સોસાયટી અને એ. ડી. ગોરવાલા કરમસદ બ્લડબેન્કના સંયુક્ત ઉપક્રમે 22 અને 23 ડિસેમ્બર 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં રેડક્રોસ સોસાયટીના પદાધિકારીઓ દેવેન્દ્ર પટેલ, હેમંત પટેલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ શૈલુ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો, પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયાએ જણાવ્યું હતું કે, ભીખુભાઈ પટેલે હંમેશા સમાજસેવા અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. તેમના 75માં જન્મદિને રક્તદાન જેવા પવિત્ર કાર્ય દ્વારા તેમની સેવાકીય ભાવનાને બિરદાવવાનો આ એક પ્રયાસ છે. સહ મંત્રી મેહુલ પટેલે માહિતી આપી હતી કે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ 'ગિફ્ટ અ લાઈફ ઓન અ માઈલસ્ટોન બર્થડે' ના સૂત્ર સાથે શાસ્ત્રી મેદાન અને એડીઆઈટી કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. શિબિરના પ્રથમ દિવસે બંને સ્થળોએથી કુલ 1050 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. CVM યુનિવર્સિટીની તમામ કોલેજના પ્રિન્સિપાલ, અધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ શિબિરમાં જોડાયા હતા.
પાટણ શહેરના વ્યસ્ત સીટી પોઈન્ટ માર્કેટમાં જોખમી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો છે. માર્કેટના પ્રથમ માળે સીડીઓ પાસે ઈન્જેક્શન, હેન્ડ ગ્લોઝ અને લોહીવાળા કોટનનો જથ્થો મળી આવતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. રખડતા શ્વાનોએ ડસ્ટબીન ફેંદતા આ મામલો સામે આવ્યો હતો. માર્કેટના પ્રથમ માળે સીડીઓ નજીક વપરાયેલા ઈન્જેક્શન, હેન્ડ ગ્લોઝ અને લોહીવાળા કોટન સહિતનો જોખમી કચરો રઝળતી હાલતમાં જોવા મળ્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ મેડિકલ વેસ્ટ ડસ્ટબીનમાં નાખવામાં આવ્યો હતો, જેને રખડતા શ્વાનોએ બહાર કાઢ્યો હતો. આના કારણે ગંદકી અને રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થયો છે. જાહેર સ્થળ પર આ પ્રકારે મેડિકલ વેસ્ટ ફેંકવો એ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. આનાથી માર્કેટમાં આવતા ગ્રાહકો અને વેપારીઓના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઘટના બાદ પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે. મેડિકલ વેસ્ટના નિકાલ માટે ચોક્કસ માર્ગદર્શિકા હોવા છતાં તેનું પાલન થતું નથી. સ્થાનિકો દ્વારા આરોગ્ય વિભાગને તાત્કાલિક તપાસ કરવા અને માર્કેટના CCTV ફૂટેજ ચકાસવા માંગ કરવામાં આવી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે.
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર અને એક હિન્દુ યુવકની નિર્મમ હત્યાના વિરોધમાં પાટણ શહેરમાં પ્રદર્શન યોજાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ નવજીવન સર્કલ ખાતે પૂતળા દહન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં VHP અને બજરંગ દળના નેજા હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પાટણના નવજીવન સર્કલ ખાતે એકત્રિત થયા હતા. તેમણે બાંગ્લાદેશમાં થઈ રહેલા અમાનવીય કૃત્યો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન સંગઠનના કાર્યકર્તાઓએ પૂતળા દહન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે નવજીવન સર્કલ વિસ્તારમાં ભીડ જોવા મળી હતી. પાટણના માર્ગો પર બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે પ્રચંડ આક્રોશ જોવા મળ્યો હતો.
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી બે સોસાયટીઓના રસ્તાનો 45 વર્ષ જૂનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. આ રસ્તો કાગળ પર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ વાસ્તવિકતામાં બંધ છે. રહીશોએ 'પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટ'ના માધ્યમથી વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રસ્તો ખુલ્લો કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆતકર્તાઓના જણાવ્યા અનુસાર, આ રસ્તો વર્ષોથી વપરાશમાં હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ હોવાને કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા વાહનો સોસાયટી સુધી પહોંચી શકતા નથી. અગાઉ, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ રસ્તો ખુલ્લો કરાયો હતો, પરંતુ ફરીથી તે બંધ થઈ ગયો છે. આ બાબત વહીવટી તંત્રની ઉદાસીનતા દર્શાવે છે તેમ રહીશોએ જણાવ્યું હતું. ટ્રસ્ટના પ્રતિનિધિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર, એસ.પી. અને નગરપાલિકાના સી.ઓ. સમક્ષ હકારાત્મક રજૂઆત કરવામાં આવી છે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો સોસાયટીના રહીશો અને મહિલાઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ફરી વિરોધ કર્યો હતો. શાકમાં જીવાત, રબ્બર જેવી રોટલી, પાણી જેવી છાશ મામલે 1000 વિદ્યાર્થીઓ પરેશાન છે, ત્યારે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળવામાં ન આવતા તેમના દ્વારા X પર પેજ બનાવવામાં આવ્યું છે. ગત 19મી ડિસેમ્બરના વિદ્યાર્થીઓનો પ્રશ્ન દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો. જે બાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજે કોંગ્રેસની આગેવાનીમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલ પાસે એકત્ર થયા હતા અને ખરાબ ભોજનના પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ નારેબાજી કરી ન્યાય આપવાની માંગણી કરી હતી. સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ખરાબ ભોજનસૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ખરાબ ભોજન આપવામાં આવે છે. નાસ્તા અને ભોજનમાંથી વારંવાર જીવાત નીકળે છે. જેને કારણે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે આ ઉપરાંત અહીં સ્વચ્છતાનો પણ સ્વતંત્ર અભાવ જોવા મળે છે. જેથી આજે અહીંના 100થી વધુ વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ નોંધાવ્યો છે. જેથી વિદ્યાર્થીઓનો પ્રશ્ન તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગણી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે અહીં જે સમાજ કલ્યાણ અધિકારી છે તેઓ પોતાની બદલી રહ્યા છે જેને કારણે વિદ્યાર્થીઓને કનડગત કરવામાં આવી રહ્યું છે. 'અહીં ખરાબ ભોજન આપવામાં આવે છે. અહીં હાઈજીન જળવાતું નથી'જ્યારે વિદ્યાર્થી મિત્ર આહિરે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલમાં મારું ચોથું વર્ષ છે. જોકે અહીં ખરાબ ભોજન આપવામાં આવે છે. અહીં હાઈજીન જળવાતું નથી. ટોયલેટ તૂટેલી હાલતમા છે અને સફાઈનો અભાવ જોવા મળે છે. આજે અમે ધરણા પર બેસી વિરોધ નોંધાયો છે અને જ્યાં સુધી અમારો પ્રશ્ન દૂર નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. આ પણ વાંચો:શાકમાં ઈયળો, રબ્બર જેવી રોટલી, પાણીમાં છાશ ઉલ્લેખનીય એ છે કે ગત 19મી ડિસેમ્બરે જ ,રાજકોટમાં સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં કીડા, મકોડા અને જીવાત, રબ્બર જેવી રોટલી અને પાણી જેવી છાશને કારણે 1000 વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં ભોજનના વાસણની બાજુમાં જ એંઠવાડનું વાસણ રાખવામાં આવે છે. ટોયલેટ બ્લોક તૂટેલી હાલતમાં તો લિફ્ટ વારંવાર બંધ થઈ જાય છે જેને લઈને આજે વિદ્યાર્થીઓએ ઉગ્ર નારેબાજી કરી હતી અને ત્રણ મહિનાથી સમાજ કલ્યાણ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી ઈમેલ મારફત રજૂઆત કરવામાં આવી પરંતુ સમસ્યાઓનું નિરાકરણ આવ્યુ નથી. જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સમસ્યાઓને વાચા આપવા માટે X પર Inside samras hostel નામનું પેજ બનાવવાની ફરજ પડી છે.
અમરેલી શહેરના હીરામોતી ચોક નજીક બે વ્યક્તિઓ વચ્ચે થયેલી મારામારીમાં જીજ્ઞેશ પરમાર નામના યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, હુમલાખોરે જીજ્ઞેશ પરમારને મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા. આ ઘટના બાદ આરોપી જાહેરમાં છરી બતાવી દાદાગીરી કરતો હોવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં અમરેલી સિટી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હુમલો અગાઉના મનદુઃખના કારણે થયો હોવાનું મનાય છે. આ અંગે DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ પર છરી વડે હુમલાની ઘટનામાં પોલીસ તપાસ ચાલી રહી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે.
હિંમતનગરમાં પોન્ઝી સ્કીમથી 4 લાખની છેતરપિંડી:ત્રણ સંચાલકો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ
હિંમતનગરના ટાવર રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી શેરબજારમાં રોકાણ કરાવવાના મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. 'બિગબુલ ફેમિલી' નામની કંપની ખોલી ત્રણ સંચાલકોએ આશરે રૂ. 4 લાખની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. પાકતી મુદતે રકમ પરત ન આપતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોન્ઝી સ્કીમના સંચાલકો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ હિંમતનગર તાલુકાના જામળા ગામના વિશ્વજીતસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડે નોંધાવી છે. તેમણે જણાવ્યું કે 9 માર્ચ 2024 થી અત્યાર સુધીના સમયગાળામાં જગદિશગીરી ગોવિંદગીરી ગોસ્વામી, શીતલબેન જગદિશગીરી ગોસ્વામી (બંને રહે. જામળા) અને સરોલી ગામના વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણે 'બિગબુલ ફેમિલી' નામની કંપની ખોલી હતી. આ ત્રણેય આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વજીતસિંહ રાઠોડને લાલચ આપી હતી કે તેમની કંપની શેરબજારમાં રોકાણ કરીને સારો નફો કમાય છે. તેમણે વિશ્વજીતસિંહને ડિપોઝિટ પર માસિક 5 ટકા વ્યાજ આપવાનું અને મુદત પૂરી થયે રોકાણ કરેલી રકમ પરત આપવાનું વચન આપ્યું હતું. આરોપીઓએ વિશ્વજીતસિંહને વિશ્વાસમાં લીધા હતા કે 'બિગબુલ ફેમિલી' પોન્ઝી સ્કીમ રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ કરતાં વધુ ઊંચો વ્યાજદર આપે છે. જોકે, પાકતી મુદતે સંચાલકોએ વિશ્વજીતસિંહ રાઠોડને ડિપોઝિટની રકમ અને વળતર પરત ન આપી છેતરપિંડી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સંચાલકો વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જગદિશ ગોસ્વામી સામે પ્રથમ ફરિયાદ નોંધાયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના 13 વોર્ડમાં જુદાજુદા સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા, જાહેરમાં ગંદગી કરતા, જાહેરમાં થુંકતા, ડસ્ટબીન ન હોઈ, ઘાસચારાનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી રૂપિયા 37,100 જેટલી દંડની વસુલાત કરવામાં આવી છે. સાથે સોલિડવેસ્ટ વિભાગ દ્વારા શહેરીજનોએ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. 207 આસામીઓને 37 હજારનો દંડ ફટકાર્યોમહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગની આજરોજ શહેરના 13 વોર્ડમાં સ્વચ્છતા નથા પ્લાસ્ટીક નાબુદી ઝુંબેશ દરમ્યાન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 28 આસામીઓ પાસેથી 32.6 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂપીયા 17,700 દંડ તથા જાહેરમાં ગંદકી કરતા 112 આસામીઓને દંડીત કરીને કુલ રૂપીયા 9,550 દંડ, શહેરની કંસારા નદીમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા કુલ 16 આસામીઓને દંડીન કરીને કુલ રૂપીયા 4,250 દંડ, જાહેરમાં થુંકતા 14 આસામીઓને દંડીત કરીને રૂપીયા 3,500નો દંડ, જાહેરમાં અને ડસ્ટબીન ન હોવા બાબતે 8 આસામીઓ દંડીત કરીને તેઓની પાસે રૂ.1600 દંડ અને ઘાસચારાના પુળા વેચાણ કરતા 29 આસામીઓ પાસેથી 117 પૂળાએ જપ્ત કરીને કુલ રૂપીયા 500નો દંડ વસુલ કરવામાં આવેલ. આમ કુલ 207 આસામીઓ પાસેથી કુલ રૂપીયા 37,100ના દંડની વસુલાત કરવામાં આવેલ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા મનપાની અપીલમનપાના સોલિડ વેસ્ટ મેનેજેમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા માટેની ઝુંબેશ અને ડ્રાઇવ આગામી દિવસોમાં શરૂ રહેવાની હોઈ જેથી શહેરીજનોએ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.અને શહેરને સ્વચ્છ સુંદર બનાવવા માટે તમામ નાગરીકો સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના મકરપુરા GIDCમાં આવેલી બે કંપનીમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા અને એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપનીમાં બે તસ્કરો 1.68 લાખની કિંમતના કોપરના 16 નંગની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેથી કંપની માલિકે ચોરીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જોકે ચોરી કરવા માટે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હતા. બીજી તરફ મકરપુરા જીઆઇડીસીની વર્મા એન્જિનિયરિંગ કંપનીમાંથી સ્ટીલની રિંગ અને સ્ટીલની સાફ્ટિંગ મળી રૂ. 1.67 લાખના સામાનની ચોરી કરી પલાયન થઇ ગયાં હતા. જેથી કંપની માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. મકરપુરા GIDCમાં એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા કામદાર મનોજભાઈએ જણાવ્યું હતું કે, 'મેં શટર ખોલીને બૂમ પાડી, તો ચોર મારી તરફ દોડ્યો હતો અને મને ધક્કો મારી રૂમની અંદર ધકેલી દીધો હતો. તેને મને ધમકી આપીને કહ્યું હતું કે, તું વધારે બોલીશ તો તેને જાનથી મારી નાંખીશ' વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન તથા ઘરફોડ ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ બે ચોરીના બનાવ સામે આવ્યાં છે. વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં મકરપુરા રેલવે ફાટક પાસે આવેલી રાજનગર સોસાયટીમાં રહેતા પ્રહલાદભાઇ સુરેન્દ્રભાઇ કુસવાહ મકરપુરા જીઆઇડીસીમાં આવેલા એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપની ધરાવે છે, ત્યારે ગત 22 ડિસેમ્બરે સાંજના સમયે તેમની કંપની બંધ કરીને તેઓ તથા તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓ ઘરે ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રીના સમયે ગેટ પરથી બે તસ્કર કદીને કંપનીમાં પ્રવેસ્યાં હતા. ત્યારબાદ કંપનીમાં મુકેલી જોબ વર્ક બનાવવા માટેના કોપરના રોડ એકની કિંમત રૂપિયા 12 હજાર મળી 16 કોપરના રોડ કિંમત રૂ. 1.68 લાખની ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. બીજા દિવસે કંપની ખોલવા માટે આવેલા સંચાલક પ્રહલાદભાઇ કુસ્વાહને ચોરી થઇ હોવાની જાણ થતા તેઓએ ચોરીની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જોકે ચોરી કરવા માટે આવેલા તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હોય પોલીસ ફુટેજના આધારે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વર્મા એન્જિનિયરિંગ કંપનીમાંથી રૂ. 1.67 લાખની ચોરી બીજી તરફ મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આમ્રપાલી સોસાયટીમાં રહરેતા નરેશભાઇ બચ્ચુપ્રસાદ મંહતોની જીઆઇડીસીમાં આવેલી વર્મા એન્જિનિરિંગ વર્કસ કંપનીના શટરને મારેલા તાળો તોડી બે તસ્કરો કંપનીમાં પ્રવેશ્યાં હતા. ત્યારબાદ સ્ટીલની રિંગ 74 કિંમત રૂપિયા 48 હજાર તથા સ્ટીલની સાફ્ટિંગ રૂ. 15 હજાર મળી રૂ. 1.67 લાખની સામાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. જેથી કંપની માલિક નરેશભાઇ મંહતોએ ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મકરપુરા GIDCમાં એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા કામદાર મનોજભાઈએ જણાવ્યું હતું કે, હું રાત્રે સૂતો હતો ત્યારે અચાનક બહારથી અવાજ આવતા જાગી ગયો હતો. મેં જ્યારે સીસીટીવી કેમેરામાં જોયું ત્યારે ખબર પડી હતી કે, એક અજાણ્યો માણસ અંદર ઘૂસી આવ્યો હતો અને ત્યાંથી માલની ચોરી કરીને તેને બહાર ફેંકી રહ્યો હતો, જ્યારે મે બહાર આવીને શટર ખોલ્યું અને બૂમ પાડી ત્યારે પેલો ચોર મારી તરફ દોડી આવ્યો અને મને ધક્કો મારીને રૂમની અંદર ધકેલી દીધો હતો. ચોરે મને ધમકી આપી હતી કે, જો તું વધારે કંઈ બોલીશ તો તેને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ ચોરે આ મને ખૂણામાં બેસાડી દીધો હતો અને શટર બંધ કરી દીધું અને તેનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. જોકે, થોડી વાર પછી ત્યાં હાજર ફાઈટર નામનો વ્યક્તિ શટર ખોલીને મને મોબાઈલ પાછો આપી દીધો હતો. મકરપુરા GIDCમાં વર્મા એન્જિનિયરિંગ વર્ક્સ કંપનીના માલિક નરેશ મહંતોએ જણાવ્યું હતું કે, અમારી કંપની છેલ્લા 30-35 વર્ષથી ચાલે છે અને આટલા વર્ષોમાં પ્રથમ વખત ત્યાં ચોરીની ઘટના બની છે. 20 ડિસેમ્બરે વહેલી સવારે ચોરીની ઘટના બની હતી. જ્યારે હું રિંગ શોધવા ગયો, ત્યારે તેમને ચોરી વિશે જાણ થઈ હતી. મેં તરત જ મેં માંજલપુર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મેં સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે.
પોરબંદરમાં વાસી ખોરાકનો નાશ કરાયો:ચેકિંગમાં 15 કિલો બટેટા, મકાઈ, મંચુરિયનનો અખાદ્ય જથ્થો પકડાયો
પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત નવા ફુવારા, એસ.ટી. સ્ટેન્ડ સામે, રાણીબાગ, જયુબેલી રોડ, એસ.વી.પી. રોડ, માણેકચોક, છાયા ચોકી રોડ અને એમ.જી. રોડ જેવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, નાસ્તાગૃહ, ભોજનાલય, મીઠાઈ-ફરસાણ તથા ફાસ્ટફૂડની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી નિયમોના પાલન અંગે વિગતવાર તપાસ કરાઈ હતી. ધંધાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ અપાઈ હતી. ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારા 40 ધંધાર્થીઓ (જેમાં લારીઓ, દુકાનદારો અને રેસ્ટોરન્ટ સંચાલકોનો સમાવેશ થાય છે) પાસેથી કુલ રૂ.11,500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં આરોગ્ય માટે હાનિકારક એવા વાસી બાફેલા બટેટા, મકાઈ, સ્પ્રિંગ રોલ, મંચુરિયન અને મીઠાઈ સહિતનો કુલ 15 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્યપદાર્થોની ગુણવત્તાની વધુ તપાસ માટે કુલ 10 નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે શહેરના નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે આવા ચેકિંગ અભિયાન નિયમિત રીતે ચાલુ રહેશે. તમામ ધંધાર્થીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરવામાં આવી છે.
સુરતના ફાલસા વાડી પોલીસ સ્ટેશનની સામે ચાલી રહેલા MMTH પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈન ક્ષતિગ્રસ્ત થતા મોટું લિકેજ સર્જાયું છે. આ ટેકનિકલ ખામીને કારણે આગામી 26મી ડિસેમ્બરના રોજ સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિસ્તારનો સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. MMTH પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈન ક્ષતિગ્રસ્ત થતા મોટું લિકેજ મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના અંદાજ મુજબ, મુખ્ય લાઈનમાં થયેલા આ નુકશાનને કારણે શહેરના હાર્દ સમાન વિસ્તારોની અંદાજે 4 લાખ જેટલી વસ્તીને પાણી કાપનો સામનો કરવો પડશે. આ લિકેજની મરામત માટે મનપા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. મરામતની કામગીરી 24મી ડિસેમ્બર, શુક્રવારે સવારે 9 વાગ્યાથી શરૂ થશે જે સતત ચાલીને બીજા દિવસે શનિવારે સવારે 5 વાગ્યા સુધી પૂર્ણ કરવામાં આવશે. રિપેરિંગ પૂર્ણ થયા બાદ લાઈનને ફરી કાર્યરત કરવા અને પાણીનું દબાણ સામાન્ય કરવામાં સમય લાગે તેમ હોવાથી રવિવારે સાંજનો પુરવઠો ખોરવાશે. આથી તંત્ર દ્વારા નાગરિકોને મુશ્કેલીથી બચવા અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા સૂચન કરવામાં આવ્યું છે. આ વિસ્તારોને પાણીકાપની અસરપાણી કાપને કારણે દિલ્હી ગેટથી ચોક બજાર સુધીનો મુખ્ય રાજમાર્ગ અને તેની ઉત્તર તરફના વિસ્તારો જેવા કે મહિધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર અને નાણાંવટ પ્રભાવિત થશે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન અને સુમુલ ડેરી જેવા મહત્વના સ્થળોએ પણ પાણી પુરવઠો સદંતર બંધ રહેવાનો છે. આટલી મોટી વસ્તીને અસર થતી હોવાથી પાલિકાના હાઇડ્રોલિક વિભાગે કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પૂરતી તૈયારીઓ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ સ્થળે એક મહિના અગાઉ પણ કામગીરી દરમિયાન લાઈનમાં નુકશાન થયું હતું. તે સમયે કોન્ટ્રાક્ટર પાસે પાઈપ જોડવા માટે જરૂરી સાધન 'કોલર' ઉપલબ્ધ ન હોવાથી મનપાએ કામચલાઉ સમારકામ કર્યું હતું. કોન્ટ્રાક્ટરની આ ગંભીર બેદરકારીને પગલે ફરીવાર તે જ જગ્યાએથી લિકેજ શરૂ થતા લોકોએ પાણી કાપ વેઠવાની નોબત આવી છે. હવે કોલરની વ્યવસ્થા થઈ જતાં આ મરામત કાયમી ધોરણે કરવામાં આવશે.
ફિલ્મ સ્ટાર બોબી દેઓલ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજકોટના યાજ્ઞિક રોડ તેમજ 150 ફૂડ રિંગ રોડ પર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં બોબી દેઓલને રાજકોટવાસીઓએ ખુબ આવકાર આપ્યો હતો અને તાળીઓ તેમજ ચિચિયારી સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ તકે બોબી દેઓલે રાજકોટવાસીઓને કેમ છો મજામાં પૂછીને કહ્યું કે, સાલ ખતમ હોને આયા જપ નામ જપ નામ. વર્ષો પહેલાં પપ્પા અને ભાઈ સાથે અપને ફિલ્મના શૂટિંગ માટે આવ્યો ત્યારે પણ તમે ખુબ જ પ્રેમ આપ્યો હતો. આજે પણ આપો છો. આપ સૌનો ખુબ ખુબ આભાર. ખાનગી જ્વેલર્સના શોરૂમના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપીબોલિવૂડ એક્ટર બોબી દેઓલ આજે મુંબઇથી રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ રાજકોટ શહેરની કાલાવડ રોડ પર સયાજી હોટલમાં રોકાયા હતા. બાદમાં સાંજે 5 વાગ્યે તેઓ શહેરના યાજ્ઞિક રોડ પર ખાનગી જ્વેલર્સના શોરૂમ ખાતે લોન્ચિંગ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓના આગમન પહેલા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા. બોબી દેઓલ આવતાની સાથે જ લોકોએ તાળીઓ અને ચિચિયારી સાથે સ્વાગત કર્યું હતું. સાલ ખતમ હોને આયા હૈ, જપ નામ જપ નામરાજકોટ આવેલા બોબી દેઓલે જણાવ્યું હતું કે, સાલ ખતમ હોને આયા હૈ. જપ નામ જપ નામ. કેમ છો રાજકોટ મજામાં? મને વધારે ગુજરાતી આવડતું નથી. આપ સૌનો ખુબ ખુબ આભાર. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. નવું વર્ષ શરૂ થાય એ પહેલા આપ સૌને ખુબ ખુબ શુભેચ્છા અને બધા જ લોકો માટે આવતું વર્ષ ખુબ સારૂં જાય તેવી પ્રાર્થના. વર્ષો પહેલા હું મારા પિતા, મારા ભાઈ સાથે અપને ફિલ્મના શૂટિંગ માટે આવ્યો ત્યારે આપ બધા રાજકોટવાસીઓએ ખુબ પ્રેમ આપ્યો હતો. આજે પણ પ્રેમ આપી રહ્યા છો. આપ સૌનો ખુબ ખુબ આભાર.
અમદાવાદ શહેરમાં આવેલાં અસારવા ગામના દરવાજાને લઇને અસારવા ગામના રહીશો દ્રારા છેલ્લાં બે વર્ષથી લડત ચલાવવામાં આવતી હતી. આ લડતના ભાગરૂપે અસારવા ગામના મુખ્ય દ્રાર પર નવા તૈયાર કરવામાં આવનાર હેરીટેજ ગેટનું ગઇકાલ 22મી ડિસેમ્બરના રોજ શહેરી વિકાસ મંત્રી અને શહેરી ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રી તથા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દ્રારા કરવામાં આવ્યું હતું. ત્યારે અસારવા ગામના બીજા દરવાજાનું ખાતમૂર્હુત કયારે કરવામાં આવશે તેવો પ્રશ્ન અસારવા ગામના રહીશો દ્રારા ઉઠાવવામાં આવ્યો છે. આમ દરવાજાને લઇને અસારવા વિસ્તારમાં ભારે કાગારોળ મચી છે. ગામને હેરિટેજ દરવાજા ની ભેટ સાંપડીજયારે આ ખાતમૂર્હૂત પ્રસંગ અંગે અસારવા યુથ સર્કલ ના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી અસારવા ગામના દરવાજા અંગે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચેની હૂંસાતૂંસીના કારણે કામગીરી અટવાઇ હતી. પરંતુ, સ્થાનિકોએ છેક વડાપ્રધાન સુધી પોતાની માંગણી રજૂ કરી હતી. તેના પ્રત્યુત્તર રૂપે મુખ્યમંત્રીના વિશેષ બજેટમાંથી ગામને હેરિટેજ દરવાજાની ભેટ સાંપડી છે તેને આવકારી હતી. 'બીજા ગામના દરવાજાનું ક્યારે મુહૂર્ત થશે'જો કે આ દરવાજા પ્રકરણ અંગે તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેનાથી પ્રજાના વિકાસલક્ષી કામો અટવાય છે. સૌ પ્રથમ સ્થાનિક કોર્પોરેટરોએ 2024-25 અને 2025-26 એમ બે વર્ષ માં 25 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. જેમાં અસારવા ગામના બે દરવાજા બનાવવાના હતા. 1.જુના અસારવા ગામનો અને બીજો નવા અસારવા ગામનો દરવાજો બનાવવાનો હતો. એક ગામનો દરવાજાનું ખાત મુહૂર્ત કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો છે તો બીજા ગામના દરવાજાનું ક્યારે મુહૂર્ત થશે, એમ સ્થાનિક નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજા ગામના દરવાજાનું પણ ખાતમુહૂર્ત સત્વરે થાય એવી ગ્રામજનોની માગણી છે. હેરિટેજ ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના અસારવા વોર્ડમાં, અસારવા ગામનાં મુખ્ય દ્વાર પર નવા તૈયાર કરવામાં આવનાર ભવ્ય હેરિટેજ ગેટનું શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા અને સાંસદ દિનેશભાઈ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યાં હતાં. હેરિટેજ ગેટની જાળવણી અને સ્વચ્છતા રાખવા માટે ગ્રામજનોને મંત્રીની અપીલઆ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા ગામતળના વિકાસ માટે ફાળવવામાં આવેલા વિશેષ બજેટ અંતર્ગત આ હેરિટેજ ગેટનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, વણઉકેલાયેલા પ્રશ્નો જેવા કે, ઓમનગર અંડરબ્રિજના પ્રશ્ને રેલવે વિભાગ સાથે સફળ વાટાઘાટો કરી કામ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. આ વિસ્તારની ઐતિહાસિક માતર ભવાનીની વાવ અને દાદા હરિની વાવના પુનઃવિકાસ માટે નેશનલ ઓથોરિટી સાથે સંકલન સાધીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથોસાથ અસારવા ચાલી વિસ્તારની વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો બદલવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. નવનિર્મિત હેરિટેજ ગેટની જાળવણી અને સ્વચ્છતા રાખવા માટે ગ્રામજનોને તેમણે અપીલ કરી સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. ચમનપુરા બાજુ નવો ગેટ બનાવવાની રજૂઆત આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અસારવા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે જનપ્રતિનિધિઓ સતત કાર્યરત છે, જેમાં અસારવા રેલવે સ્ટેશન ખાતે ચમનપુરા બાજુ નવો ગેટ બનાવવાની રજૂઆત તેમના દ્વારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ લોકસભામાં કરવામાં આવી છે. આ ઉપરાંત, વિસ્તારના અંડરબ્રિજની સમસ્યાના નિરાકરણ માટે અધિકારીઓ સાથે બેઠક કરી આગામી સપ્તાહમાં સ્થળ મુલાકાતનું આયોજન પણ હાથ ધરાયું છે. અસારવા ગામમાં બની રહેલા હેરિટેજ ગેટની કામગીરી અને કોર્પોરેશન દ્વારા થતા રોડ, ગટર તથા પાણીના પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. પાણી-ડ્રેનેજ લાઈન અને રોડ પેવિંગ માટે 456 કરોડના કામો મંજૂરઑમેયર પ્રતિભાબેન જૈને પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અસારવા વિધાનસભાને સુવિકસિત બનાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. મધ્ય ઝોનમાં પ્રદૂષણ નિવારણ અને માળખાગત સુવિધાઓ જેવી કે પાણી-ડ્રેનેજ લાઈન અને રોડ પેવિંગ માટે કુલ રૂ. 456 કરોડના કામો મંજૂર કરાયા છે. અસારવા વોર્ડમાં મંગળદાસ હોલ અને વિઠ્ઠલદાસ પટેલ કોમ્યુનિટી સેન્ટરનું નવીનીકરણ તેમજ નવા અર્બન હેલ્થ સેન્ટરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, અસારવા વિસ્તારમાં અન્ય વિવિધ વિકાસ કામોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યોનો ઉદ્દેશ્ય અસારવા વિધાનસભાના નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, હેલ્થ કમિટી ચેરમેન જશુ ઠાકોર, મટીરીયલ કમિટીના ચેરમેન બળદેવભાઈ, કાઉન્સિલર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
સુરતના જુનાગામ ખાતે આવેલા નવચેતન અદાણી વિદ્યાલય ખાતે તા. 22 અને 23 ડિસેમ્બર 2025 દરમિયાન ખેડૂત દિવસની ઉજવણી વિવિધ શૈક્ષણિક અને જાગૃતિસભર કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ એ હજીરા વિસ્તારની વિશેષતા ધરાવતી પ્રાકૃતિક શાકભાજીના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બીજા દિવસે ખેતી જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા. ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી આધારિત ખેતરની મુલાકાત કરાવવામાં આવી હતી. પાપડી, રીંગણ, કોબીજ, ફૂલકોબી, શક્કરિયા, મરચાં, ટામેટાં, લસણ અને મેથી જેવી શાકભાજી પ્રાકૃતિક પદ્ધતિથી કઈ રીતે ઉગાડવામાં આવે છે એનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓને જીવામૃત, નિમસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવી પ્રાકૃતિક દવાઓ તથા ખાટી છાશના ફૂગનાશક ઉપયોગ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આજે નવચેતન અદાણી વિદ્યાલય પરિસરમાં વાલી ખેડૂત મિત્રો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત કૈલાશબેન દ્વારા પ્રાકૃતિક ખેતીની ઉપયોગીતા, ખાતર–જંતુનાશક દવાઓ અને સરકારશ્રીની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. ટેક્નોલોજી સાથે પ્રાકૃતિક ખેતી શક્ય છે તે દર્શાવતા અભિનયગીત અને પ્રયોગો રજૂ કરાયા. નવચેતન વિકાસ મંડળના સહમંત્રી બીપીનભાઈ પટેલએ હજીરા વિસ્તારની ખેતીની સમૃદ્ધિ અને આજના યુગમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો. આ ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓમાં ખેડૂત પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વિકસાવવી, પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ ફેલાવવી, પર્યાવરણ સંરક્ષિત ખેતીને પ્રોત્સાહન આપવું અને આત્મનિર્ભર ભારતના વિચારને મજબૂત બનાવવાનો હતો.
આવતીકાલ 24મી ડિસેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી 38 વર્ષથી કરવામાં આવી રહી છે. છતાં હજુ ગ્રાહકમાં જાગૃત્તિનું પ્રમાણ વ્યાપક નહીં હોવાનું સંસ્થા દ્રારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતની 38 જિલ્લા તથા શહેર ગ્રાહક કમિશનમાં 50 હજારથી વધુ કેસોનો ભરાવો છે. તેમાંય 38માંથી 26 ગ્રાહક કમિશનમાં પ્રમુખ અને સભ્યો તેમ જ સ્ટાફની જગ્યા ભરાતી નથી. 'ગ્રાહક જાગૃતિનું પ્રમાણ વ્યાપક નથી તે ચિંતાજનક'ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખ જણાવે છે કે, 24 ડિસેમ્બર 1986 ના દિવસે લોકસભામાં ગ્રાહક સુરક્ષા ધારો પસાર થયો હતો. ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારો તથા સંસ્થાઓ આ દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવે છે. ગ્રાહક સુરક્ષા ધારાને આજે 38 વર્ષ થયા પરંતુ ગ્રાહક જાગૃતિનું પ્રમાણ વ્યાપક નથી તે ચિંતાજનક છે. જીવનના તમામ ક્ષેત્રોમાં ગ્રાહક આજે છેતરાય છે પરંતુ ગ્રાહકને ઝડપી અને ગુણવત્તાલક્ષી ચુકાદાઓ દ્વારા ન્યાય મળતો નથી. ગ્રાહક કમિશનમાં 50 હજારથી વધુ કેસોનો ભરાવોઅમદાવાદ શહેરની ત્રણ ગ્રાહક કોર્ટમાં 12,000થી વધુ ફરિયાદોનો અસહ્ય ભરાવો પીડાજનક છે. ગુજરાતના 38 શહેર – જિલ્લા ગ્રાહક કમિશનમાં તેમજ સ્ટેટ કમિશન સહિત ફરિયાદો અને અપીલોનો ભરાવો 50,000થી વધુ છે. આજે પણ 26 શહેર જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ અને સભ્યો તેમજ સ્ટાફની જગ્યાઓ ભરાતી નથી. ફરિયાદોનો અસહ્ય ભરાવાના કારણે ન્યાયમાં વિલંબ થાય છે આથી ગ્રાહકોમાં વ્યાપક અસંતોષ અને આક્રોશ ભભુકી રહ્યો છે. સરકારી સેવાઓનો ગ્રાહક સુરક્ષા ધારામાં સમાવેશ કરવા માંગણીગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રીઓને આવેદન પત્ર પાઠવી દેશભરના ગ્રાહકોને ઝડપી ન્યાય મળે તેમજ તમામ કોમર્શિયલ ખરીદીનો ગ્રાહક સુરક્ષા ધારામાં પુનઃ સમાવેશ કરે તેમજ તમામ સરકારી સેવાઓનો ગ્રાહક સુરક્ષા ધારામાં સમાવેશ કરવા માંગણી કરેલ છે. સાથે સાથે ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી અને ડીજીટલ ફ્રોડ સામે છેતરાયેલા તમામ ગ્રાહકોને અને નાગરિકોને વીમાથી સુરક્ષિત કરવાની સ્કીમ બહાર પાડવા માગણી કરી છે. સરકારની કાયદેસરની, બંધારણીય અને નૈતિક પવિત્ર જવાબદારી છે કે, છેતરપિંડીનો ભોગ બનેલા તમામ અસરગ્રસ્ત પિડીતોને ન્યાય મળવો જોઈએ અને તેઓની મુડી વીમાની સ્કીમ દ્વારા તાત્કાલીક પરત મળવી જોઈએ. ફરજીયાત બિલ અને ગેરંટી મળે તે માટે સરકારે કાનુની વ્યવસ્થા કરવી જોઈએભારતીય ગ્રાહકોને આફ્ટર સેલ સર્વિસ મળતી નથી આથી પ્રત્યેક ગ્રાહકને ફરજીયાત બિલ અને ગેરંટી મળે તે માટે સરકારે કાનુની વ્યવસ્થા કરવી જોઈએ. ગ્રાહક સુરક્ષાની ટોપ ટેન માંગણીઓના અમલીકરણ માટે ઝુંબેશ ચલાવાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ગ્રાહક સુરક્ષાને સર્વોચ્ચ અગ્રીમતા આપે તે માટે તમામ આગેવાન સાંસદો અને ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવવા તેમજ સોશીયલ મીડીયામાં ઝુંબેશ ચલાવી જન - જાગૃતિ લાવવામાં આવશે. આ સાથે જાગો ગ્રાહક જાગોની સાથે જાગો સરકાર જાગો નો સંકલ્પ સુત્ર આજે જાહેર કરવામાં આવેલ છે.
31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે દારૂ અને ડ્રગ્સ પાર્ટીને રોકવા માટે શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના દૂષણને રોકવા તપાસ શરૂ કરતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ કેટલા ડ્રગ્સ માફીઆઓ ક્રાઈમ બ્રાન્ચના ડરથી અંડર ગ્રાઉન્ડ થવા લાગ્યા છે. 4 દિવસમાં ક્રાઈમ બ્રાન્ચે 11 સ્થળો પર દરોડા પાડી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ડ્રગ્સના ત્રણ અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચ હવે ડ્રગ્સના કેસમાં છેતરપિંડીની કલમનો પણ ઉમેરો કરવાની છે. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે કરેલા ત્રણ કેસમાં 2.36 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. નરોડામાંથી ચરસના જથ્થા સાથે એકને દબોચ્યોનરોડા વિસ્તારમાં આવેલા સ્વામીનાયારણ ઉધ્યાનની સામે જાહેર રોડ પર કૃણાલસિંહ રાજપુત નામના યુવક પાસે ચરસનો જથ્થો હતો. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલીક નરોડા પહોંચી ગઈ હતી અને કૃણાલસિંહ રાજપુતની ધરપકડ કરી લીધી હતી. કૃણાલની ધરપકડ કર્યા બાદ તેની ઝડતી કરી હતી તો તેની પાસેથી 45 ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે કૃણાલની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. તો પુછપરછમાં તેણે કબુલાત કરી હતી કે નરોડા વિસ્તારમાં રહેતા અંકિત રાજપુત નામના યુવક પાસેથી તેણે ચરસનો જથ્થો ખરીદી કર્યો હતો. અંકિત રાજપુત ઘણા સમયથી કોઈ વ્યકિત પાસેથી મોટી માત્રામાં ચરસનો જથ્થો ખરીદી રહ્યો હતો. કૃણાલ છેલ્લા ત્રણ મહિનાથી અંકિત પાસેથી ચરસ ખરીદતો હતો અને છુટક વેચાણ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે કૃણાલની ધરપકડ કરીને 11 હજારથી વધુની કિંમતનુ ચરસ જપ્ત કર્યુ છે. નરોડા સૈજપુર પાસેથી યુવક પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યોક્રાઈમ બ્રાન્ચની બીજી ટીમે પણ નરોડા સૈજપુર પાસેથી સચિન તમંચે નામના યુવક પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે સચિન તમંચે નામના શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે, જેથી તેની અટકાયત કરી લીધી હતી અને બાદમાં તેની તપાસ કરતા ગાંજો મળી આવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે FSLને જાણ કરી હતી. FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી સચિન પાસેથી મળી આવેલા પદાર્થનું ટેસ્ટીંગ કરતા તે ગાંજો હોવાનું સામે આવ્યુ હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે સચિનની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી હતી. સચિને જણાવ્યુ હતું કે છારા નગરમાં રહેતા એક વ્યકિત પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ સચિનની 96,500ના ગાંજા સાથે ધરપકડ કરી હતી. તેના વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેના સાગરીતને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.લાલ દરવાજા પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયોલાલ દરવાજા સીદી સૈયદની જાળી પાસેથી પણ ક્રાઈમ બ્રાંચે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડ્રગ્સના કેસો કરવા માટે હ્યુમન સોર્સીસ એક્ટીવ કર્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી. દરીયાપુર વિસ્તારમાં આવેલા સુપર રોયલ ફ્લેટમાં રહેતા માહીરહુસૈન સૈયદ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો હતો. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને માહીર હુસૈનની ધરપકડ કરી હતી. માહીર હૂસૈન પાસેથી ક્રાઈમ બ્રાંચે 1.30 લાખ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. માહીર હૂસૈને કબુલાત કરી છે કે આ ડ્રગ્સ જથ્થો શાહનવાઝ ઉર્ફે શાનુ પાસેથી લાવીને વેચવાનો હતો. ક્રાઈમ બ્રાંચે બે વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ત્રણ દિવસમાં 30થી વધુ ડ્રગ્સ પેડલર્સની અટકાયત30થી વધુ ડ્રગ્સ પેડલર્સની કડક પુછપરછ કરાઈ હતી. ડ્રગ્સ માફિયાઓની ચેઈનને તોડવા માટે ક્રાઈમ બ્રાંચ આક્રમક મુડમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાંચે છેલ્લા ત્રણ દિવસમાં 30થી વધુ ડ્રગ્સ પેડલર્સની અટકાયત કરીને તેમની પુછપરછ કરી હતી. ડ્રગ્સ પેડલર્સ હાલમાં શુ એક્ટીવી કરી રહ્યા છે અને તેમનુ બેકગ્રાઉન્ડ શૂ છે તે જાણવા માટે તપાસ હાથ ધરાઈ હતી. આ સિવાય ડ્રગ્સ ઉપરાંત ગોગો કિટ અને ઈ-સિગારેટના પ્રતિબંધીત વસ્તુઓ મામલે પણ પુછપરછ કરાઈ હતી. નાર્કો ફાઈન્નાસ અને ડિજિટલ છેતરપીંડીને રોકવા ક્રાઈમ બ્રાંચે બે ફરિયાદ નોંધી નાર્કો ફાઈનાન્સ પર ક્રાઈમ બ્રાંચની વોચ ડ્રગ્સ ટ્રેડના લોજિસ્ટિક્સને તોડવા માટે ક્રાઈમ બ્રાંચે ખાસ નાર્કો ફાઈન્નાસ પણ ધ્યાન કેન્દ્રીત કર્યુ. નાર્કો ફાઈન્નાસ અને ડિજિટલ છેતરપીંડીને રોકવા માટે ક્રાઈમ બ્રાંચે બે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યુ છે કે પેડલર્સ પોલીસ સંકજામાં આવે નહી તે માટે ડમી સીમકાર્ડ અને બીજાના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને નાણાકીય ટ્રાન્જેક્શન કરી રહ્યા છે. ડ્રગ્સના કેસોમાં હવે છેતરપીંડીની કલમોનો પણ ઉમેરો કરાશે. ડ્રગ્સ પર વારના અભિયાનમાં ક્રાઈમ બ્રાંચે અમદાવાદીઓ પાસે મદદ માંગી ક્રાઈમ બ્રાંચે શરૂ કરેલા અભિયાનમાં અમદાવાદીઓ પાસે પણ મદદ માંગી હતી. પોલીસ વિભાગ નાગરિકોને સતર્ક રહેવા અને નશાકારક પદાર્થોના વેચાણ અથવા વિતરણ સંબંધિત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અપીલ કરી છે.

25 C