ગણિત ઘણીવાર બાળકો માટે કઠિન વિષય ગણાય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ બાળકોને વૈશ્વિક મંચ સુધી પહોંચાડી શકે છે. તેનું જીવંત ઉદાહરણ તાજેતરમાં SEU University, Tbilisi ખાતે 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી યુસીમાસ ઇન્ટરનેશનલ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા છે, જેમાં વિશ્વના 80 દેશના 1500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ ભાષા અને સંસ્કૃતિ ધરાવતા સ્પર્ધકો વચ્ચે પણ ગણિત પ્રત્યેનો ઉમળકો અને પ્રતિભા દરેક વિદ્યાર્થીને એક સમાન ધોરણ પર જોડતી દેખાઈ. આ વૈશ્વિક સ્પર્ધામાં ભારત તરફથી યુસીમાસ સમા સેન્ટરના ચાર વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું. મૃણ્મયી દીવાટે પ્રથમ, ત્વીશા પટેલ દ્વિતીય, જ્યારે નિહિત રાજસિંહ પરમાર અને હિરવા પટેલે તૃતીય સ્થાન મેળવી ભારત તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું. અનેક દેશોના તેજસ્વી પ્રતિસ્પર્ધકો વચ્ચે સ્પર્ધા કરીને પ્રાપ્ત આ સિદ્ધિઓ, તેમની ક્ષમતા અને તૈયારીની ઊંચાઈ દર્શાવે છે. આ સ્પર્ધાનો સૌથી કઠિન ભાગ માત્ર એટલો હતો કે, વિદ્યાર્થીઓએ મગજની જ ગણતરી દ્વારા આઠ મિનિટમાં કુલ 200 ગણિતીય દાખલા ઉકેલવાના—જેમા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, મિક્સ્ડ ઓપરેશન્સ અને લાંબી ચેઇન–સમ્સનો સમાવેશ થતો હતો. અહીં વિદ્યાર્થીઓ UCMASની મેન્ટલ ઍબેકસ ટેકનિકનો ઉપયોગ કરે છે. તેઓ પોતાના મનમાં ઍબેકસના મણકા કલ્પે છે અને મગજમાં જ મણકાઓને સરકાવીને ગણતરી કરે છે. આ અનોખી પ્રક્રિયા વિઝ્યુઅલાઇઝેશન, સ્પીડ મેમરી, ન્યુરલ કોઓર્ડિનેશન અને બે હેમિસ્ફિયર્સના સમન્વયનો સુમેળ છે. ડાબું મગજ તર્ક અને ચોકસાઈનું આયોજન કરે છે જ્યારે જમણું મગજ મણકાઓની માનસિક ચળવળ અને કલ્પનાત્મક ચિત્ર રચવામાં સહાય કરે છે. આ ટેકનિક એટલી ઝડપી અને ચોક્કસ છે કે વિશ્વસ્તરે તેને “brain–machine precision without the machine” તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ સ્તર સુધી તૈયાર કરવા માટે યુસીમાસ સમા સેન્ટરના માર્ગદર્શકો સૌરભ સર અને બિનલ મૅમ છેલ્લા 21 વર્ષથી કાર્યરત છે. તેમણે તિબિલિસી સુધી વિદ્યાર્થીઓ સાથે રહીને સ્પર્ધાત્મક દબાણ, માનસિક સંતુલન, ઝડપ–ચોક્સાઈ અને સમય વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ પાસાઓ પર સતત માર્ગદર્શન આપ્યું. બાળકો સાથે રહેલા માતા–પિતાએ પણ તેમના ઉત્સાહ અને મનોબળને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આવો વૈશ્વિક અનુભવ માત્ર ગણિતીય પ્રગતિ પૂરતો મર્યાદિત નથી રહેતો; પરંતુ બાળકોમાં તર્કશક્તિ, એકાગ્રતા, સર્જનાત્મકતા, સંસ્કૃતિ-સમજ, આત્મવિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ જેવા જીવનકૌશલ્યોનો વિકાસ કરે છે. ગણિત હવે માત્ર શૈક્ષણિક વિષય નહીં, પરંતુ જીવનમાં સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા અને નિર્ણયશક્તિનો આધારસ્તંભ બની ગયું છે. તિબિલિસીમાં પ્રાપ્ત થયેલી આ સફળતાઓ સ્પષ્ટ પુરાવો આપે છે કે યોગ્ય તાલીમ, અનુશાસન અને સતત પ્રયત્નોથી દરેક બાળકની આંતર શક્તિ વિશ્વમંચ સુધી પહોંચાડી શકાય છે. યુસીમાસ સમા સેન્ટરના આ ચાર વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે ગણિત માત્ર અંકોની રમત નથી—પણ એક વૈશ્વિક ભાષા છે, જેને તેઓ આત્મવિશ્વાસપૂર્વક અને ગૌરવપૂર્વક પ્રદર્શિત કરી રહ્યા છે.
વડોદરા અને અકસ્માત જાણે એક બીજાના પર્યાય હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. 10 ડિસેમ્બરે આજવા રોડ પર નશાની હાલતમાં કાર ચાલકે યુવકને ફંગોળ્યો હતો. ત્યારે ગત રોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના માણેજા વિસ્તારમાં ગઈકાલે સાંજે રોડ અકસ્માતમાં 56 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. અકસ્માતમાં કારના ચાલક સામે ગુનો નોંધી મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રોડ ક્રોસ કરતા સમયે કાર ચાલકે ટક્કર મારીઆ અકસ્માતમાં ભોગ બનેલાના પુત્ર જયરાજ નયનભાઈ મરાઠે કે જેઓ અભ્યાસ કરે છે. ફરિયાદમાં તેઓએ નોંધાવ્યું છે કે તેઓના પિતા નયનભાઈ વામનરાવ મરાઠે (ઉંમર 56 વર્ષ) શિવાભી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે સાંજના અંદાજે પોણા આઠ વાગ્યે તેઓ જીજી માતાના મંદિર સામેના રોડ પરથી માણેજા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્રીજી હોસ્પિટલ સામેના રોડને ક્રોસ કરતી વખતે કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી તેમને ટક્કર મારી હતી. માથા અને શરીરમાં ગંભીર ઈજાઓ થતાં મોતફરિયાદમાં જણાવ્યા મુજબ, અકસ્માત બાદ મૃતકને તાત્કાલિક શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેઓને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન રાત્રે મૃત જાહેર કર્યા હતા. કાર ચાલકની અટકાયતઆ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા નયનભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ 'ભારત કુલ'નું ગુજરાત યુનિવર્સિટીમાં આયોજન કરવામાં આવ્યું છે. 12, 13 અને 14 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં 'ભારત કુલ' કાર્યક્રમ ચાલવાનો છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્રણ દિવસ સુધી અલગ અલગ કવિ સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, શિલ્પકલા, ચિત્રકલા પર કાર્યક્રમ યોજાશે. ઉદ્ઘાટન બાદ BAPSના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચનગુજરાત મીડિયા ક્લબ દ્વારા ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ 'ભારત કુલ'ના અધ્યાય 2નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ભાવ, રંગ અને તાલ એમ ત્રણ પ્રકારે અલગ અલગ કાર્યક્રમ થવાના છે. ઉદ્ઘાટન બાદ ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનીયસ કાર્યક્રમ અંતર્ગત BAPS સ્વામીનારાયણ સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન યોજાશે. ભાવના કાર્યક્રમોમાં સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને મીડિયાને લઈને અલગ અલગ કાર્યક્રમભાવના કાર્યક્રમોમાં સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને મીડિયાને લઈને અલગ અલગ કાર્યક્રમ યોજાશે. જેમાં અલગ અલગ વક્તા લોકોને સંબોધન કરશે. તાલના અલગ અલગ કાર્યક્રમમાં કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશનતાલના અલગ અલગ કાર્યક્રમમાં કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાશે. આ કાર્યક્રમોમાં જાણીતા ચિત્રકાર, જાણીતા એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ IPS અજય ચૌધરી, જાણીતા શિલ્પકાર, એક્ઝિબિશન ડિઝાઇનર, જાણીતા કાર્ટૂનિસ્ટ, જાણીતા કવિ ઉપસ્થિત રહેવાના છે. જે અલગ અલગ કલાને લઈને હાજર લોકો સાથે સંવાદ કરશે. રાગમાં કવિ સંમેલન યોજાશેતેમજ ભારતકુલમાં રાગના પણ અલગ કાર્યક્રમ યોજવાના છે. જેમાં કવિ સંમેલનમાં રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, સૌમ્ય જોશી, અંકિત ત્રિવેદી, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, મધુસૂદન પટેલ, ભાવિન ગોપાણી, તેજસ દવે ઉપસ્થિત રહેવાના છે. લાલો ફિલ્મના કલાકારો, સંગીતના ખમીર એવા ઓસમાણ મીર અને આમિર મીર પણ ઉપસ્થિત રહેવાના છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકોનું સ્વાગતઉદ્ઘાટન સમારોહ પહેલા વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે. 'ભારત કુલ'ના અધ્યાય 2માં જાણીતા ચિત્રકારોએ દોરેલા પેઇન્ટિંગ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે. નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે નલિયાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ હતું, જેમાં 0.2 ડિગ્રીનો ઘટાડો થઈને આજે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 0.3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગરની યુવા પેરા શૂટર મિલી મનિષકુમાર શાહે રમતગમત ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત છઠ્ઠી રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં મિલી શાહે 10 મી. એર રાઇફલ શૂટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે જ મિલી શાહ પેરા રાઇફલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ દીકરી બની ગઈ છે. મિલી શાહ કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં સઘન પ્રેક્ટિસ કરી રહી છેગાંધીનગરના સેક્ટર-26 વિસ્તારમાં રહેતી મિલી શાહે કડી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં સઘન પ્રેક્ટિસ કરી રહી છે. ચેરમેન ગજેન્દ્રસિંહ બારડ અને કોચ વિમલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મિલી પ્રેક્ટિસ કરી રહી છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યુંદિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મિલીએ R3 મિક્સ 10 મી. એર રાઇફલ પ્રોન SH1 ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. મિલીએ 631.9નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં મિલીએ સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફાઇનલ્સમાં 253.5નો સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યોમિલીએ ફાઇનલ્સમાં 253.5નો સ્કોર નોંધાવીને સ્પર્ધામાં પ્રભુત્વ જમાવી આખરે ગોલ્ડ મેડલ જીત્યો છે. મિલીની આ ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતમાં પેરા શૂટિંગના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. પેરા રાઇફલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી તરીકે મિલીએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ સહિતના મહાનુભાવોએ મિલીને તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે (12 ડિસેમ્બર) સવારના સમયે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ટક્કર બાદ આગ ભભૂકી, એક મહિલા જીવતી ભૂંજાઇપ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ બંને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે, રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને તે જીવતી ભૂંજાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. એક મુસાફર હિતેશ કુમારે જણાવ્યું હતું કે, રીક્ષાને બ્રેક મારતાં તે પલટી ખાઇ ગઇ. આ ટક્કરમાં એક બાઇક અને રીક્ષા બળી ગઇ. અમે બે માસીને બચાવ્યા અને એક માસી અંદર જ બળીને મરી ગયા. ત્રણ જણા બચી ગયા તેને હોસ્પિટલ લાવ્યા છે. 4 લોકો ગંભીર રીતે દાઝ્યા, ટ્રાફિકજામઆ ભયાનક અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે રસ્તા પર ધુમાડો ફેલાતાં અને વાહનો અટવાઈ જતાં રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પેટ્રોલપંપ કર્મચારી ફેરનસિંહ પરમારે જણાવ્યું હતું કે, બાઇકે ટર્ન માર્યા એ સમયે સામેથી એક મોટી ગાડી આવી એ જ વખતે એક રીક્ષાએ પણ ટર્ન માર્યો. જેને કારણે અચાનક આગ લાગી. મેં મારા ફાયરનો સામાન લઇને ત્રણ લોકોને ખેંચીને બચાવ્યા ને આગને કંટ્રોલ કરી. જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરીઅકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને વાહનો ધડાકાભેર ભટકાતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતની તસવીરો...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે(13 ડિસેમ્બર) શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે, જેમાં સુરત મહાનગર પાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડના મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ 600 કરોડના પ્રકલ્પોમાં સુરત મહાનગર પાલિકાના 350 કરોડ અને અર્બન રિંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે. CM 600 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરતમાં ત્રણ મુખ્ય સ્થળો પર હાજરી આપીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં એપીએમસી માર્કેટની મુલાકાત, રાંદેર વિસ્તારની એક ખાનગી હોટલમાં આયોજિત ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકમાં સહભાગી થવું અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાલિકા અને યુઆરડીસીના પ્રોજેક્ટોના મુખ્ય લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્થળો પરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે. આઉટર રિંગરોડના સચીનથી કડોદરા સુધીના 10 કિમીના કામનું ખાતમુહૂર્તઆ વિકાસ પ્રકલ્પોમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કામ સુરતની ફરતે સાકાર થઈ રહેલા 66 કિલોમીટર લાંબા આઉટર રિંગરોડનો બાકી રહેલો સેગમેન્ટ છે. મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિંગરોડના સચીનથી કડોદરા સુધીના અંદાજિત 10 કિલોમીટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામગીરી માટે 250 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં રોડનું બાંધકામ અને ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે. વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરાશેઆ સચીન-કડોદરા સેગમેન્ટનું કામ પૂર્ણ થવાથી 66 કિલોમીટરની આઉટર રિંગરોડની આખી રીંગ સાકાર થઈ જશે. આ પ્રકલ્પ વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રિંગરોડ પૂર્ણ થવાથી શહેરના અંદરના ભાગમાં આવતા હેવી વાહનોનો ટ્રાફિક હળવો થશે અને આજુબાજુના વિસ્તારોને સીધું જોડાણ મળી રહેતાં લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે. સુરત મહાનગર પાલિકાના 350 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તસુરત મહાનગર પાલિકાના 350 કરોડના કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેમાં 250 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે 248 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ડ્રેનેજ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. ડ્રેનેજના આ કામો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ થશે. 100 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરાશેજ્યારે, બાકીના 100 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્તના કામોમાં કનકપુર, ઉધના અને લિંબાયત ઝોન જેવા મહત્ત્વના વિસ્તારોના વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીની આ મુલાકાત સુરત શહેરના વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે અને નાગરિકો માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં વધુ એક મજબૂત કદમ બની રહેશે.
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ફરી એકવાર જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે(12 ડિસેમ્બર) વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પાછા જવું પડ્યુંઆ બિલ્ડીંગ ફાયર સેફટી અને બિલ્ડીંગના બે માળ મંજૂરી વિના ચલાવવામાં આવતા હતા. આ બિલ્ડીંગ જર્જરીત પણ હોવાનું સામે આવ્યું છે. જેથી આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવતા આજે જે વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા તેમને પાછા જવું પડ્યું હતું. આજે પણ શહેરમાં ફૂડ કોર્ટ, સ્કૂલો, કોલેજો વગેરે જગ્યાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલો, હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહીઅમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્કૂલો, હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 6 ફૂડ કોર્ટને સીલ કર્યા હતા11 ડિસેમ્બરે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. મોટાભાગના ફૂડ કોર્ટમાં લાકડાનો ઉપયોગ અને શેડ બનાવીને ફૂડ કોર્ટ ઊભા કરી દેવામાં આવે છે, કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવામાં આવતા નથી જેના પગલે આવા ફૂડ કોર્ટને સીલ કરવામાં આવ્યા છે. બીયુ પરમિશન-ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા સૂચનારાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી. સ્ટેમ્પ પેપર ઉપર તેઓને બીયુ પરવાનગી લેવા અને ફાયર સેફટી માટે સમય આપવામાં આવ્યો હોવા છતાં કાર્યવાહી ન કરવામાં આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી. 50થી વધારે લોકો જાય, એક સાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરાઈ રહી છે. એસજી હાઇવે-ગોતા વિસ્તારમાં કાર્યવાહીઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા એસજી હાઇવે અને ગોતા વિસ્તારમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના ફૂડ કોર્ટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા સીલ કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલનના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકસિત ગુજરાત@2047 માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 'વિકસિત ભારત@2027' ના સ્વપ્નને સાકાર કરવા માટે 'વિકસિત ગુજરાત@2047' એક ગ્રોથ એન્જિન સાબિત થશે. રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, આંતરમાળખાકીય સુવિધાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ સહિતના ક્ષેત્રોમાં ઝડપથી કામ કરી રહી છે. બેઠક પૂર્વે, પ્રભારી સચિવ સંદીપકુમારે લાઠી તાલુકાના ચાવંડ અને બાબરા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નંદઘર-આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ વ્યવસ્થા અને મધ્યાહન ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે અધિકારીઓને 'વિકસિત ગુજરાત' ના લક્ષ્યને હાંસલ કરવા માટે ચોક્કસ દિશામાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લા સંકલનના અધિકારીઓને પૂર્વ આયોજન સાથે આગળ વધવા અને કુલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં અમરેલી જિલ્લો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નિર્ધારિત લક્ષ્યાંકો સમય મર્યાદામાં પ્રાપ્ત કરી શકે તે માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારમાં નીતિ આયોગ એક મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે. નીતિ આયોગ દ્વારા મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (MPI) જાહેર કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ આરોગ્ય અને શિક્ષણ સહિતના વિવિધ સૂચકાંકોમાં પ્રદર્શનનું માપન કરે છે. પ્રભારી સચિવે અમરેલી જિલ્લામાં પણ આ ઇન્ડેક્સના વિવિધ સૂચકાંકોમાં લક્ષ્યાંક મુજબ પ્રગતિલક્ષી કામગીરી હાથ ધરવા ભારપૂર્વક સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વદેશી સાયક્લોથોનનું આયોજન:આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા 'સ્વદેશી સાઇકલોથોન'નું આયોજન
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આજરોજ શહેરમાં 'સ્વદેશી સાઇકલોથોન'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ વિશે જાગૃતિ ફેલાવવી અને ફિટનેસ તથા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા રેલી દરમિયાન સહભાગીઓએ ભારતીય બનાવટના માલસામાનનો ઉપયોગ કરવાનો અને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો, આ સાઇકલોથોનમાં વધુ ઉત્સાહી નાગરિકો, યુવાનો અને વરિષ્ઠોએ ભાગ લીધો હતો. આજરોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાયકોલોથન શહેરના આતાભાઈ ચોક ખાતેથી મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી, જે શહેરના આતાભાઇ ચોકથી ગુલિસ્તા મેદાન, સેન્ટ્રલ સોલ્ટ, પાણીની ટાંકી, જ્વેલર્સ સર્કલ, મીણબત્તી સર્કલ થઈ નીલમબાગ ત્યાંથી જેલ રોડ, દાદા સાહેબ જૈન દેરાસર, રાધા મંદિર ટ્રાફિક સિગ્નલ પાસેથી સેન્ટ્રલ સોલ્ટ થઈ આતાભાઈ ચોક પરત ફરી હતી, આ રૂટ પર સાઇકલિસ્ટોએ રાષ્ટ્રભક્તિના ગીતો અને સ્વદેશીના નારા સાથે વાતાવરણને ગુંજાવી દીધું હતું. આ પ્રસંગે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, કમિશનર મીના સહિતના મહાનુભાવો સાઇકલોથોનને લીલી ઝંડી આપી હતી, અને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્વદેશી માત્ર એક આર્થિક નીતિ નથી, પરંતુ તે રાષ્ટ્રીય ગૌરવ અને આત્મનિર્ભરતાની ભાવના છે. સાઇકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંનેને લાભ થાય છે, જે આત્મનિર્ભર અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે જરૂરી છે. ભવિષ્યમાં પણ સ્વદેશીના વિચારને વેગ આપવા માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સ્વદેશી સાયક્લેથોન ના રૂટના દરેક પોઇન્ટ ઉપર ભાગ લેનાર લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા સાથે એનર્જી ડ્રિંક્સ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, આ સાયોકોલોથનમાં દરેક ભાગ લેનારને પ્રમાણપત્ર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું,
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા એરંડાના છોડની આડમાં છુપાવેલા નાના-મોટા 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 473.960 કિલોગ્રામ થયું હતું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2,36,98,000/- (બે કરોડ છત્રીસ લાખ અઠ્ઠાણુ હજાર) આંકવામાં આવી છે. પોલીસે આ મામલે વાઘજી શીવાભાઈ પરમાર (રહે. રત્નાજીના મુવાડા, તા. બાલાસિનોર, જિ. મહીસાગર) નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પોલીસ વડા સફીન હસને ચાર્જ સંભાળ્યા બાદથી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે (ઉં.વ.50) પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો છે. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે રાત્રિના બનાવ બન્યો હતો. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. એસઆરપી જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટડીના નાવીયાણી ગામ પાસે ગઇકાલે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં એરવાડાના બે સગાભાઇ સહિત ત્રણ યુવકોના મોત થયા હતા. મૃતક ત્રણેય યુવકોના બુધવારે જ ઇન્ટવ્યૂ થયા હતા અને બીજા દિવસે વહેલી સવારે નવા સપનાઓ સાથે નોકરીએ જવા નીકળ્યાને અધવચ્ચે જ કાળ ભરખી ગયો. આ અકસ્માતમાં બે સગાભાઇઓના મોતથી પરિવારના નવ સભ્યો નોંધારા થઇ ગયા છે. જ્યારે અન્ય યુવકવી માતા તો જૈન સાધ્વીને લઇને જૂનાગઢ ગયા હતા, ત્યાં પુત્રના મોતના સમાચાર મળતા પરત આવ્યા હતા. પાટડીના એરવાડા ગામના 30 વર્ષીય ભરતભાઇ નરશીભાઈ દેવીપૂજક, 28 વર્ષીય મહેશભાઇ નરશીભાઈ દેવીપૂજક અને 20 વર્ષીય સંજયભાઈ ભાથીભાઈ ઠાકોરના ગઇકાલે નાવીયાણી પાસે અકસ્માતમાં મોત થયા હતા. આ ગોઝારી ઘટનાના સમાચાર મળતાં જ ભાસ્કરની ટીમ ગઇકાલે જ એરવાડા ગામમાં પહોંચી ગઇ હતી, ત્યાંના દૃશ્યો સૌ કોઇની આંખોના ખૂણા ભીના કરી દે એવા હતા. નોકરીની વાત પાકી થઇને યુવકો હરખે હરખે ઘરે આવ્યાદિવ્ય ભાસ્કરને ગ્રામજનોએ જણાવ્યું કે, મૃતક ત્રણેય યુવકોના બુધવારે જ બેચરાજીની એક કંપનીમાં ઇન્ટરવ્યૂ થયા હતા. દૈનિક 400 રુપિયા લેખે વાત નક્કી થઇ અને કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે આવતીકાલથી જ નોકરીએ આવી જજો. નોકરીની વાત પાક્કી થઇ જતા ત્રણેય યુવકો હરખે હરખે ઘરે આવ્યા હતા અને નોકરી મળ્યાનો ખુશી એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. અનેક આશાઓ સાથે વહેલી સવારે ઘરેથી નીકળ્યા ને...નોકરીથી પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને પરિવાર સુખેથી રોટલો ખાઇ શકશે એવી આશા અને નવા સપનાઓ સાથે બંને ભાઇ અને ત્રીજો યુવક વહેલી સવારે ઘરેથી એક જ બાઇક પર સવાર થઇને નોકરી પર જવા નીકળ્યા હતા. આ દરમિયાન નાવીયાણી પાસે અજાણ્યા વાહનની ટક્કરથી ત્રણેય યુવકો મોતને ભેટતા પરિવાર માથે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ત્રણેય મૃતકોને નાના-નાના બાળકો અને વૃદ્ધ માતા-પિતાદિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મૃતક બે ભાઇઓમાં ભરત દેવીપૂજકને સંતાનમાં બે બાળકો છે. જ્યારે નાનાભાઇ મહેશને સંતાનમાં ત્રણ બાળકીઓ છે. આમ પાંચ બાળકો, બહેનો અને માતા-પિતા મળીને પરિવારના નવ લોકો સાવ નોંધારા થઇ ગયા છે. બંને ભાઇઓ પહેલાં ઘેટા-બકરા ચારવાની સાથે જૂના કપડાની લે-વેચ કરીને ઘરની ગુજરાત ચલાવતા હતા. જ્યારે મૃતક સંજય ઠાકોરને એક નાની બાળકી છે. જે છૂટક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. બે ભાઇને માતા-પિતાને તો હાર્ટની સર્જરી કરાવેલી છેઆ બંને ભાઈઓના માતા-પિતા બંનેને અગાઉ હાર્ટ-એટેક આવેલો છે અને બંનેની બાયપાસ સર્જરી થયેલી છે. ત્યારે ચોંધાર આંસુએ રડતા રડતા લાચાર પિતા નરશીભાઈએ વલોપાત કરતા જણાવ્યું કે, મારા બંને દીકરા ઘરની પરિસ્થિતિ જોઈને નોકરીએ જવા નીકળ્યા ને પ્રથમ દિવસે જ મોત મળ્યું..આટલું બોલતા જ તેઓ રડવા લાગ્યા હતા. જે બાદ ફરી આખમાં આંસુ સાથે કહ્યું કે, મારા બે-બે દિકરા મરી ગયા છે હવે મારે શું કરવું? સંજયની માતા તો જૂનાગઢ હતા ને પુત્રના મોતના સમાચાર મળ્યાબીજી તરફ મૃતક સંજય ભાથીભાઈ ઠાકોરની માતા તો જૈન સાધ્વીજીને લઈને જૂનાગઢ વિહારમાં ગયા હતા અને પાછળથી દીકરાના મોતના સમાચાર મળતા પરત આવવા નીકળ્યા હતા. આમ ત્રણેય યુવકોની અંતિમયાત્રામાં આખુ ગામ હિબકે ચડ્યું હતું અને પરિવારના હૈયાફાટ રુદનથી હાજર સૌ કોઈના આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા. કયા વાહને યુવકોનો જીવ લીધો એ હજી ક્લીયર નહીંઆ ત્રણેય યુવકોને કયુ વાહન કચડીને ફરાર થઇ ગયું એની જાણકારી હજી પોલીસને નથી મળી. દસાડા પોલીસ સ્ટેશનના પીઆઇવી.જે.માલવીયાએ જણાવ્યું કે, વિવિધ સીસીટીવી ફૂટેજ જોયા બાદ બે વાહનો શંકાસ્પદ દેખાય છે અને સીસીટીવી ફૂટેજમાં બાઈક એ વાહનની પાછળ દેખાય છે, પણ માત્ર એની લાઈટનો ફોક્સ જ દેખાય છે. કયા વાહનથી અકસ્માત થયો એ હજી ક્લીયર થતું નથી, પણ આ અકસ્માતની ઘટનામાં ટ્રેલરની અડફેટે થયો હોવાનું જણાય છે, પોલીસ તપાસ કરી રહી છે. દસાડા-બેચરાજી વચ્ચે અઢી વર્ષમાં આઠ લોકોના મોત થયાબેચરાજી આજુબાજુ મારૂતિ અને હોન્ડા સહિતની અનેક કંપનીઓ આવેલી છે અને બાજુમાં વણોદ GIDCમાં પણ આજુબાજુના ગામોના અનેક લોકો નોકરી માટે રોજ દિવસ અને રાતપાલીમાં નોકરી માટે બાઈક લઈને અપડાઉન કરે છે, ત્યારે કાયમ મોટા વાહનોના ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર દસાડાથી બેચરાજી વચ્ચે છેલ્લા બે અઢી વર્ષમાં આઠ જેટલા યુવાનો મોતને ભેટ્યાના ગોઝારા બનાવો બનેલા છે. આ પણ વાંચો: માથું ધડથી અલગ, શરીરના ટુકડેટુકડા; પાટડીનાં ખૌફનાક દૃશ્યો
દારૂ ઝડપાયો:લખુપરા ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
મહુવા તાલુકાના લખુપરા ગામે રહેતા ચંપુભાઈ વલકુભાઈ ઝાઝડા ના ગોરસ રોડ વાડી વિસ્તારમાં આવેલ વાડીના રહેણાકી મકાનમાં રાખેલ વિદેશી દારૂની રૂપિયા 55400 ની કિંમતની 48 નંગ બોટલો ભાવનગર એલસીબીએ ઝડપી લીધી હતી. જ્યારે ઘરે હાજર નહીં મળી આવેલ આરોપી ચંપુભાઈ ને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂનો મોટો જથ્થો પકડાયો:સિહોરથી બોટાદ જતો 46.66 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ભાવનગરના સિહોરના નેસડા ગામથી આગળ દારૂ - બિયરના મસમોટા જથ્થો લઇ શંકાસ્પદ ટ્રક પસાર થવાનો હોવાની સિહોર પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે નેસડા ગામ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન નેસડા ગામ થી બોટાદ જઇ રહેલા કંતાનના બારદાન ભરેલો શંકાસ્પદ ટ્રક જોવા મળતા પોલીસે ઉભો રાખવાની કોશીશ કરી હતી પરંતુ ડ્રાઇવરે પોલીસને જોઇ ટ્રકને કનીવાવ ગામ તરફ ટ્રક ભગાડી મુકતા પોલીસે ફિલ્મી સ્ટાઇલે ટ્રકનો પીછો કરી, ડ્રાઇવરને ઝડપી લઇ, ટ્રકમાં તલાશી કરતા ટ્રકમાંથી રૂા. 46 લાખથી ઉપરાંતનો મસમોટો વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો સાથે ડ્રાઇવરની ધરપકડ કરી, દારૂ મોકલનાર અને દારૂ મંગાવનારની શોધખોળ શરૂ કરી છે. આગામી 31 ડિસેમ્બરને લઇને ભાવનગર શહેર અને જિલ્લાના બુટલેગરો સક્રિય થયા છે. અને મસમોટા દારૂ મંગાવી, યુવકોને નશાના રવાડે ચડાવે છે.ત્યારે પોલીસે આવા બુટલેગરોને શોધી કાઢવા માટે સખત વોચ ગોઠવી છે. ત્યારે સિહોર પોલીસને નેસડા ગામ નજીકથી એક શંકાસ્પદ ટ્રકમાં દારૂ તેમજ બિયરની મોટા જથ્થામાં હેરાફેરી થવાની હોવાની ચોકક્સ બાતમી મળી હતી. જે આધારે પોલીસે નેસડા ગામ પાસે વોચ ગોઠવી રાખી હતી. જે દરમિયાન કંતાનના બારદાન ભરેલો એક શંકાસ્પદ ટ્રક પસાર થતાં તેના ડ્રાઇવરને ટ્રક ઉભો રાખવાનો ઇશોરા કર્યો હતો. પરંતુ ડ્રાઇવરે પોલીસને જોઇ તેનો ટ્રક કનીવાવ ગામ તરફ ભગાડી મુક્યો હતો. જે બાદ પોલીસના કર્મચારીઓએ ફિલ્મી સ્ટાઇલે પીછો કરી કનીવાવ ગામ નજીકથી ટ્રકને ચારેબાજુથી કોર્ડન કરી, ડ્રાઇવર દિનેશકુમાર રૂગનાથરામ ખીલેરીની ધરપકડ કરી, ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી જુદી જુદી કંપનીની વિદેશી દારૂની તેમજ બિયરની બોટલો નંગ 11,676 કિ.રૂા. 46,66,560નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જે બાદ રાજસ્થાનથી દારૂ મંગાવનાર સુરેશરામ ભાકરારામ જાટની તેમજ બોટાદના બુટલેગરની શોધખોળ શરૂ કરાઇ છે. પોલીસને ગુમરાહ કરવા હવે બુટલેગરો ટ્રકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરફેર કરી રહ્યાં છે. નારી ચોકડીથી બુટલેગરે બોટાદ તરફ ટ્રક વળાવ્યોનારી ચોકડી પાસેથી ટ્રક પહોંચતા ટ્રકના ડ્રાઇવરને બુટલેગરે ફોન કર્યો હતો અને ડ્રાઇવરને દારૂ ભરેલા ટ્રકને બોટાદ તરફ વાળવાની સુચના આપ્યા બાદ ડ્રાઇવરે સિહોરના નેસડા ગામથી બોટાદ તરફ જઇ રહ્યો હતો. જે દરમિયાન પોલીસે વોચ ગોઠવી ટ્રકની અટક કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.બુટલેગર બોટાદનો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વાહનચાલકોને થશે રાહત:અંતે વલભીપુરમાં ચમારડી દરવાજા સુધીના RCC રોડનું કામ શરૂ કરાયું
ભાવનગર-અમદાવાદ હાઇવે પરથી શહેરમાં પ્રવેશ માટેના અમરવીલાથી ચમારડી દરવાજા સુધીનો જે રસ્તો અન્ડર ગ્રાઉન્ડ ગટરનું કામ કર્યા પછી જેમની તેમ હાલતમાં મુકી દેવામાં આવેલ હતો. દિવાળી પછી પડેલા કમોસમી વરસાદના કારણે આ રસ્તો ગારાનો બની ગયેલ રાહદારીઓ તો ઠીક વાહનો પણ પસાર ન થઇ શકે તે હદે ચીકણી માટીના ગારા વાળો બનતા આ રસ્તાનો ઉપયોગ કરતા ચમારડી દરવાજા,આહિર શેરી,માધુબાગ, કુકડીયા શાળા સહિના અન્ય વિસ્તારોના લોકોને પારાવર મુશ્કેલીમાં મુકયા હતાં. આ બાબત નગરપાલીકાના સત્તાધીશોએ પુરી ગંભlરતાથી લેતા તાત્કાલીક રીતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરીને અમરવીલાથી ચમાડરી દરવાજા સુધીના નવા સી.સી. રોડનું કામ શરૂ કરાવામાં આવતા લોકોને રાહત સાથે હાશકારો થયો છે.
સફળ સર્જરી:સાત વર્ષની બાળકી સિક્કો ગળી જતા કરાયું જટિલ ઓપરેશન
માનવ સેવા એ જ પ્રભુ સેવા ઉક્તિને ચરિતાર્થ કરતી ઉમરાળા તાલુકાના ટીંબી ખાતેની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં રોંજીદા હજારો દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. ટીંબી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના આંખ-નાક-ગળાના વિભાગમાં સાત વર્ષની બાળકી બે રૂપિયાનો સિક્કો ગળી જતા સારવાર્થે લવાઈ હતી. ગળાના અંદરના ભાગમાં ફસાયેલો બેનો સિક્કો શ્વાસનળીમાં જવાની સંભાવના વચ્ચે ઈ.એન.ટી. વિભાગના તબીબોની ટીમે સફળતાપૂર્વકના ઓપરેશનથી બાળકીને નવજીવન આપ્યું છે. ટીંબી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં બે રૂપિયાનો સિક્કો ગળી જતા સાત વર્ષની બાળકી સારવાર્થે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના ઈ.એન.ટી. સર્જન ડો. ગવેન્દ્ર દવે સાહેબ, મહિલા તબીબ ડો.રાજી દેસાઈ અને એનેસ્થેટીક ડો. મિહિર પટેલની ટીમે સફળ ઓપરેશન કરી બાળકીના ગળામાં ફસાયેલા સિક્કાને બહાર કાઢી બાળકીને મૃત્યુંના ખતરાથી ઉગારી લીધી હતી. ગળામાં ફસાયેલા સિક્કાની ખાનગી હોસ્પિટલ જેવી સ્થાનિક કક્ષાએ નિઃશુલ્ક સારવાર મળતા બાળકીના પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં ભેદભાવ વિના નિઃશુલ્ક સારવાર !ટીંબી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી ! એટલું જ નહીં અહીં ધર્મ-જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે સારવાર કરાઇ છે. વર્ષ-2011માં 5 કરોડના ખર્ચે બન્યા બાદ માનવ સેવા હોસ્પિટલ બનાવીને ટ્રસ્ટને સોંપ્યું હતું. આ હોસ્પિટલમાં વિના મુલ્યે સારવાર અને ઓપરેશન થાય છે સર્જરી થાય છે ત્યારે દેશભરમાંથી આવતા દર્દીઓ તેનો લાભ લઈ રહ્યા છે.
રમત ગમતમાં સિદ્ધિ:રાજ્યકક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં જ્ઞાનગુરુ એકેડેમીના છાત્રો ઝળક્યા
જૂનાગઢ ખાતે યોજાયેલ 8મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ કોમ્પિટિશનમાં શ્રી જ્ઞાનગુરુ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ જ્વલંત સફળતા મેળવી છે. આ સ્પર્ધામાં લાયન સ્કેટિંગ ક્લબ, શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ભાવનગરના 6 બાળકોએ અલગ અલગ વય જૂથમાં ભાગ લીધો હતો, જેમાં આ બાળકોએ ટોટલ 9 ગોલ્ડ સિલ્વર અને બ્રોન્સ મેડલ મેળવી ઓલ ઓવર ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી, આ બાળકોના કોચ વત્સલ બારડે કોચિંગ આપ્યું હતું તથા સંસ્થાના સંચાલક મનહરભાઈ રાઠોડે બાળકોને બિરદાવ્યા છે.
પૂજ્ય આચાર્ય સુનિલસાગરજી ગુરુદેવ સંઘના વિશેષ વિસ્તાર, રત્નદ્વીપ-ઘોઘા ખાતે હજારો વર્ષ જૂના સહસ્ત્રકૂટ મંદિરમાં આયોજિત શ્રીમજિનેન્દ્ર પંચકલ્યાણક મહામહોત્સવ શરૂ થયો. અતિશય ક્ષેત્ર ઘોંઘા (ભાવનગર) ખાતે યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્યશ્રીએ આત્મસંયમ, દીક્ષા અને જીવનમૂલ્યો અંગે અત્યંત પ્રભાવશાળી ઉદ્દબોધન આપ્યું. ગુરુદેવે જણાવ્યું કે, પ્રત્યેક પળે ઇચ્છા જન્મે છે, અને જે ઈચ્છાઓને જીતે છે તે જ દીક્ષાનો અધિકારી બને છે. સંયમ દુનિયાની સૌથી કિંમતી સાધના છે, તેથી પ્રભુ આદિનાથએ અગણિત વૈભવ છોડીને દીક્ષા સ્વીકારી. ગુરુદેવે ઋષભદેવ ભગવાનના જીવનચરિત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કેવી રીતે સૌધર્મ ઇન્દ્ર પણ તેમની સેવા માટે ઉપસ્થિત રહેતા, ભરત–બાહુબલી જેવા પ્રતિભાશાળી પુત્રો હતા, અગણિત રાજવૈભવ હતું — છતાં તેમણે ક્રોધના પ્રસંગે સમતા અપનાવીને સંસારમાંથી નિવૃત્તિ લીધી અને દિગંબર દીક્ષા ધારણ કરી. સભામાં સમુદ્રકિનારે સ્થિત પ્રાચીન રત્નદ્વીપ ક્ષેત્રના ઇતિહાસનો પણ ઉલ્લેખ થયો. ગુરુજીએ જણાવ્યું કે ક્યારેક અરબ સાગર મંદિરની બાજુ સુધી હતો અને ‘ખજૂરિયા ચૌક’ નામના સ્થળે અરબ દેશોમાંથી આવેલા ખજુર ઉતારવામાં આવતાં. આજે સમુદ્ર થોડું પાછળ ખસી ગયો છે, પરંતુ સમયપ્રભાવવશ ત્યાં ફરી આગળ વધવાની શક્યતા જણાવવામાં આવે છે. ગુરુદેવે આચાર્ય સમદરભદ્ર સ્વામીકૃત સ્તુતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ધરા રૂપિ સ્ત્રીએ સમુદ્રરૂપ સાડી ધારણ કરી છે અને ઋષભદેવે રાગનો ક્ષય થતાં તેને પણ ત્યજ્યું. આ સંયમ અને વૈરાગ્યનું અદ્વિતીય ઉદાહરણ છે.ઉદ્દબોધનમાં ગુરુદેવે દ્રવ્યો લિંગ અને ભાવ લિંગના તફાવત પર પ્રકાશ પાડતા કુન્દકુન્દાચાર્યની વાણીને યાદ કરી. તેમણે કહ્યું કે માત્ર ચર્ચા કરવાથી નહીં, પરંતુ ચર્યા ઉતારવાથી મમુક્ષુત્વ સિદ્ધ થાય છે. પ્રાચીન સમયમાં ઘોઘામાં વિશાળ જિનાલય હશેપ્રાચીન સમયમાં ઘોઘા પ્રદેશમાં વિશાળ જિનાલય રહ્યા હશે. સમય અનુસાર સ્વરૂપ બદલાયું, પરંતુ પવિત્રતાનો મૂળ ભાવ આજે પણ અવિચલ છે. શ્રીપાલ મહારાજના આગમન, નિર્વાણસ્થળ અને પ્રાચીન ઇતિહાસ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો અને એવું શક્ય ગણાવાયું કે તેમનું નિર્વાણ સાંછી (વિદિશા) આસપાસ જ થયું હોઈ શકે
ગૌરવની વાત:ભાવનગરના ક્રિષ્ના જોષીએ કેબીસીમાં જીત્યા રૂ. 7.50 લાખ
ભાવનગરના ક્રિષ્ના હરેશભાઇ જોષી જેઓ ભાવનગર મહાનગરપાલિકા સેક્રેટરી વિભાગના પૂર્વ કર્મચારી અને હાલ ગુજરાત હાઇકોર્ટમાં ડી.વાય.એસ.ઓ. તરીકે ફરજ બજાવે છે. તેઓએ કોન બનેગા કરોડપતિ પ્રતિયોગિતામાં ભીમ એપ્લિકેશનની સ્પર્ધામાં ભાગ લઈને પસંદગી પામી પ્રથમ દિવસે જ પહેલા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સૌથી ઓછા સમયમાં સાચો જવાબ આપી હોટ સીટ ઉપર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિ ગેમ રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી સમગ્ર દેશના કરોડો દર્શકો સમક્ષ ભાવનગરને ગૌરવ અપાવ્યું છે. તેઓનો એપિસોડ ગત તા.8 ડિસેમ્બરે ટીવીમાં રિલીઝ થયો હતો. 60 મિનિટના એપિસોડમાં બચ્ચન બાબુ સાથે ઘણી બધી વાતો અને પરિવાર અને વ્યક્તિગત જીવનના સંવાદો કર્યા હતા. ક્રિષ્નાએ કૌન બનેગા કરોડપતિમાં બે પડાવ સફળતાપૂર્વક પાસ કર્યા હતા અને રૂ. 7.50 લાખની ઇનામી રકમ જીતી હતી. અમિતાભ બચ્ચનને મળવાનો મોકો મળતા તેમના જીવનનું સ્વપ્ન સાકાર થયું હતુ. આ જીતથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે અને તેઓ ભવિષ્યમાં આ રકમનો સદુપયોગ કરીને આગળ વધવા ઈચ્છે છે.. કેબીસીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જાન્યુ-માર્ચની વચ્ચે થતી હોય છે અને સોની પર રોજ એક સવાલનો જવાબ આપવાનો હોય છે. આ રીતે સાતેક જવાબો આપવાના થતા હોય છે. ત્યાર બાદ એપ્રિલના લાસ્ટ વીક કે મેની શરૂઆતમાં KBCમાંથી ફોન આવે અને ત્રણ સવાલો પૂછે. જો સિલેક્ટ થાવ તો ગ્રાઉન્ડ ઓડિશન એટલે કે મુંબઈ જવા મળે અને એ સામાન્ય રીતે મેના એન્ડ કે જૂનની શરૂઆતમાં હોય છે. દિલ્હી, ભોપાલ, લખનઉ અને મુંબઈ જેવા શહેરોમાં પ્રક્રિયા થતી હોય છે. ફાસ્ટેસ્ટ ફિંગરમાં સિલેક્ટ થયાનો ફોન આવે. ટીવી પર આ સરળ લાગે, પરંતુ વાસ્તવમાં આ જર્ની ઘણી જ એટલી ઘણી જ અઘરી હોય છે. સ્પર્ધક પાસેથી KBCની ટીમ સિલેક્ટ કરીને આપે એ કપડાં પહેરવાનાં હોય છે.દરેક સ્પર્ધકનો મેકઅપ રૂમ હોય છે. સેટ પર ટીમ નાની-નાની બાબતોનું ધ્યાન રાખે. સ્ટુડિયો જ એટલો મોટો છે કે તમને ભુલભુલૈયા જેવો લાગે.
17મીથી દબાણ હટાવની કામગીરી શરૂ કરાશે:અલંગ-મણારની સરકારી, ગૌચરના દબાણો હટાવાશે
ભાવનગર જિલ્લાના અલંગ ગામ નજીકની સરકારી પડતર અને ગૌચરની જમીનો પર ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે તખ્તો ઘડાઇ ચૂક્યો છે. ત્રાપજથી અલંગ સુધીના ચાર માર્ગીય કામગીરી લાંબા સમયથી દબાણોને કારણે અટકેલી હતી, જે હવે આગળ ધપશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યુ હતુ. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડની સામેની બાજુએ આવેલા હંગામી આવાસ, અને મણાર ગામની સરકારી, ગૌચર જમીનો પર દબાણો ખડકાયેલા હતા. લાંબા સમયથી તળાજા મામલતદાર કચેરી દ્વારા દબાણો હટાવવાની પ્રક્રિયા ખોરંભે ચડેલી હતી તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તળાજા મામલતદાર કચેરીના સુત્રોના જણાવ્યા અનુસાર 459 લોકો દ્વારા 63 હેક્ટર જમીન પર દબાણો ખડકવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી દ્વારા 17મી ડિસેમ્બરથી તમામ દબાણો હટાવવા માટે સંબંધિત સરકારી તંત્રને જાણ કરવામાં આવી છે. 17મીથી દબાણ હટાવની કામગીરી માટે પોલીસ બંદોબસ્તથી લઇ અને તમામ સરકારી પ્રક્રિયાઓ પણ આટોપી લેવામાં આવી છે. આમ, સરકારી પડતર અને ગોચરની જમીન પર દબાણો દૂર કરવા તખ્તો ઘડાઈ ગયો છે.
શક્તિસિંહ ગોહીલની રજૂઆત:આસમાને આંબેલું મેઘાણી હોલનું ભાડું ઘટાડો :
કલાનગરી તરીકે વિખ્યાત ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ- હૉલનું ભાડું સ્થાનિક એન. જી.ઓ./ટ્રસ્ટ માટે આકાશને આંબી ગયું છે. BMC એ બિનવ્યાવસાયિક સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અલગ ટોકન દર રાખવા જોઈએ. ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હૉલમાં તૂટેલી લાઈટો, કોઈ પ્રશિક્ષિત સાઉન્ડ ઓપરેટર નથી. દુર્ગંધયુક્ત શૌચાલયો છે, સફાઈ યોગ્ય રીતે થતી નથી ત્યારે આ મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા સબંધિતને સુચના આપવા અનુરોધ કર્યો છે. ભાવનગરમાં આર્કિટેક્ટ રજનીભાઈ મચ્છરે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ અને હૉલ બનાવ્યો છે.જેમાં રજનીભાઈ મચ્છર દ્વારા સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે . ભાવનગર કલા અને સંગીત ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે . ભાવનગરમાંથી નામાકિંત કલાકારો સમાજને મળ્યા છે . ભાવનગરની પરંપરા રહી છે કે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે નજીવી રકમે હૉલ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓને, NGO ને તથા વગર ટિકિટના કાર્યક્રમોના માટે મળતા હતા. ત્યારે હવે આ હોલમાં ભાડું ઘટાડી, સાઉન્ડ, લાઇટ, સફાઇ સહિતની સુવિધા નિયમિત થાય તે જરૂરી છે. આ હોલમાં ભાડુ વધુ લેવામાં આવતુ હોવા છતા પાયાની સુવિધાઓ મળતી ન હોય આ રજુઆત મુખ્યમંત્રીને કરીને તત્કાલ યોગ્ય કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
રત્નકલાકારે જીવાદોરી કાપી:હીરાની મંદીથી રત્નકલાકારે ફ્લેટ ઉપરથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું
ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા એક યુવક હિરામાં મંદી પ્રસરી જતાં આર્થિક સંકડામણ ભોગવી રહ્યા હતા. જેને લઇને યુવકને તેમની બે પુત્રીઓ અને પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરશે તેની ચિંતા સતાવી રહી હતી જે મામલે થોડાક દિવસથી ડિપ્રેશનમાં રહેલા યુવકે આજે વહેલી સવારના સુમારે ફ્લેટની અગાશી ઉપર જઇ, હાથની નસ કાપી હતી અને બાદમાં ફ્લેટની અગાશી ઉપરથી નીચે ઝંપલાવતા યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. યુવક નીચે પટકાયાનો મોટો અવાજ આવતા ફ્લેટમાંથી સૌ કોઇ દોડી આવ્યા હતા. જે બાદ નિલમબાગ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ભાવનગર શહેરના વિજયરાજનગરમાં આવેલા જિનદર્શન ફ્લેટમાં રહેતા અજયભાઇ ચત્રભુજભાઇ સંઘવી (ઉ.વ.40) આજે વહેલી સવારના છ વાગ્યાના સુમારે તેમના ઘરેથી ફ્લેટની અગાશી ઉપર ગયા હતા અને હાથની નસ કાપી, ફ્લેટની અગાશીમાંથી નીચે ઝંપલાવી, જીવન ટુંકાવી લેતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અજયભાઇ છેલ્લા ઘણા વર્ષોથી હિરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને આ વ્યવસાયમાં મંદીની લહેર છવાતા અજયભાઇ આર્થિક સંકડામણ ભોગવી રહ્યા હતા અને તેમને સંતાનમાં બે પુત્રીઓ અને પરિવારના સભ્યોનું ભરણ પોષણ કેવી રીતે કરશે તેની સતત ચિંતા સતાવી રહી હતી. ત્યારે આજે અજયભાઇએ આર્થિક સંકડામણથી મોતને વ્હાલુ કરતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. યુવકની કાપડની દુકાનનું ઉદ્ઘાટન કરવાનું હતુંઅજયભાઇએ હિરાની ઓફિસમાંથી નિકળી ગયા બાદ તેઓ ઘણા સમયથી ઘરે હતા. જે દરમિયાન તેમને કાપડનો વ્યવસાય કરવાની ઇચ્છા થતાં તેઓએ વિજયરાજનગરમાં કાપડની દુકાન શરૂ કરવાનું વિચાર કર્યો હતો. ત્યારે તેમની કાપડની દુકાનનું ગુરૂવારે ઉદ્ધઘાટન હતું અને તે જ દિવસે અજયભાઇએ આપઘાત વ્હોરી લીધો હતો.
લાખોનો વેડફાટ:કુંભારવાડામાં 22 કરોડનો સુએઝ પ્લાન્ટ 4 વર્ષથી ઠપ
ભાવનગર કોર્પોરેશન ના આયોજનના અભાવ અને બેદરકારીને કારણે પ્રજાના લાખો કરોડો રૂપિયા વેડફાઈ જાય છે. ગંદા પાણીને શુદ્ધ કરી દરિયામાં પાણી છોડવા માટે કુંભારવાડામાં 30 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે છેલ્લા ચાર વર્ષથી પ્લાન્ટ બંધ જેવી હાલતમાં છે. છતાં તેના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે. જે સેવા લેવામાં જ આવતી નથી તેવી સેવાઓના લાખો રૂપિયા કોર્પોરેશન એજન્સીઓને ચૂકવી રહી છે. કોર્પોરેશન દ્વારા મોટા પ્રોજેક્ટને કોઈપણ ખોટકા વગર ચલાવવા માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે. ખાસ કરીને જે પ્રોજેક્ટમાં કોર્પોરેશનના કર્મચારીઓ નિયમિત રીતે દેખભાળ કરી ન શકે અથવા તો ટેકનિકલી રીતે તેને ચલાવી ન શકે માટે પ્રોજેક્ટને ચલાવવા અને મેન્ટેનન્સ માટે એજન્સીઓને કામગીરી સોંપવામાં આવે છે. તેવી જ રીતે કુંભારવાડામાં 30 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 22 કરોડના ખર્ચે વર્ષ 2017 માં શરૂ કરવામાં આવ્યો હતો. પ્લાન્ટની યુએસએબી ટેકનોલોજી પણ અપડેટ થઈ ગઈ છે. એટલે કે પ્લાન્ટ શરૂ કર્યાના એક બે વર્ષમાં જ મોટાભાગની પ્રક્રિયા બંધ જેવી થઈ ગઈ હતી. એટલે કે શરૂઆતથી જ કોર્પોરેશનની અજ્ઞાનતાથી કરોડો રૂપિયા વેડફાઈ ગયા હતા. આટલું અધૂરું હોય તેમ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો પણ કોન્ટ્રાક્ટ આપેલો છે. જે પ્લાન્ટની મોટાભાગની પ્રક્રિયા બંધ જેવી છે તે પ્લાન્ટનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આમ શરૂઆતમાં કરોડો રૂપિયા નાખ્યા અને હવે લાખો રૂપિયા અર્ધ સક્રિય પ્લાન્ટ પાછળ વેડફી રહ્યા છે. જે પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત નથી તેવા પ્લાન્ટને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ચાલુ રખાવી સીધી રીતે એજન્સીને ફાયદો કરાવી રહ્યા છે. જે ખરેખર તંત્ર માટે પણ શરમજનક છે. હવે 45 એમએલડીનો નવો પ્લાન્ટ બનાવશે કુંભારવાડામાં 22 કરોડના ખર્ચે બનાવેલો 30 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટેકનોલોજી પણ આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. શરૂઆતથી જ પ્લાન્ટમાં ગ્રેટ ચેમ્બર બંધ હોવા સહિતની ખામીઓ પણ હતી. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા આ 30 એમએલડી પ્લાન્ટને તોડી ક્યાં નવો 45 એમએલડીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન છે. માત્ર કચરો સાફ કરી ગંદુ પાણી દરિયામાં છોડાય છેકુંભારવાડામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખરેખર તો ગંદા પાણીને શુદ્ધ કરી દરિયામાં છોડવા માટે બનાવવામાં આવ્યો છે. જેથી પ્રદૂષણનો પણ પ્રશ્ન ન રહે. જે માટે જ 22 કરોડ રૂપિયા 30 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સંપૂર્ણ પ્રોસેસ થતી નથી. જેથી ગંદા પાણીનો માત્ર કચરો સાફ કરી ગંદુ પાણી જ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે. જેનો કોઈ અર્થ નથી. પ્રદૂષણ માટે પણ આ ગંભીર બાબત છે. ભાસ્કર ઈનસાઈડઓપરેશન એન્ડ મેન્ટેનન્સમાં સાત કર્મચારી અને ત્રણ જ હાજર હતા, પંચરોજકામ થયુંસુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે કેટલા કર્મચારીઓ પાળી મુજબ રાખવા તે OM માં જ જોગવાઈ હોય છે. પરંતુ કુંભારવાડા એસટીપી સંપૂર્ણ કાર્યરત જ નહીં હોવાથી એજન્સી દ્વારા ત્યાં પૂરતા કર્મચારીઓ પણ રાખતા નથી. છતાં કોર્પોરેશન દ્વારા તો તમામ કર્મચારીઓના વેતન મુજબ રકમ એજન્સીને ચૂકવવા પડે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા અને અધિકારી આકસ્મિક મુલાકાતે પ્લાન્ટ પર ગયા હતા. જ્યાં ખરેખર સાત કર્મચારી હોવા જોઈએ તેના બદલે માત્ર ત્રણ કર્મચારી જ હોવાથી સ્થળ પર જ પંચરોજ કામ કરવામાં આવ્યું હતું. તદુપરાંત લેબોરેટરી અને ફ્રીજ બંધ સહિત અન્ય ખામીઓ પણ બહાર આવી હતી. અત્રે ઉલ્લેખનીએ છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ચેરમેન દ્વારા ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ બાબતે ગંભીરતા લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બે વાર સરપ્રાઈઝ ચેકિંગમાં OMની શરતો મુજબ સ્ટાફ સહિતની પુરતી સેવા નહી હોવાથી પંચરોજકામ કરાયું હતું.
શહેરના એસ્ટ્રોન ચોકમાં ગેરકાયદે પાર્ક કરાયેલી કારને ટ્રાફિક પોલીસના ટોઇંગવાનના કર્મચારીએ લોક મારી દીધું હતું. થોડીવાર બાદ કાર ચાલક પરત આવ્યો તો કારના ટાયરમાં લોક જોતા તેણે દેકારો મચાવ્યો હતો, કારચાલકે ટોઇંગવાનના કર્મચારીને ફોન કરીને બોલાવ્યા બાદ આક્ષેપ કર્યો હતો કે, લોક લગાવતી વખતે બેદરકારી દાખવતાં કારનું બમ્પર તોડી નાખ્યું છે, ટ્રાફિક પોલીસના કર્મચારી સાથે પણ કાર ચાલકે ઉદ્ધતાઇ કરી કાર સળગાવી નાખવાની ચીમકી આપી હતી અને કારને થયેલા નુકસાન મુદ્દે પોતે જોઇ લેશે તેવી ધમકી આપી હતી, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા તો કારચાલક કાર પાસે આવ્યો ત્યારે લોક જોતા તેણે ટ્રાફિક પોલીસ કર્મચારીને ફસાવવા માટે જાતે જ કારનું બમ્પર તોડ્યું હોય તે ઘટના ફૂટેજમાં સ્પષ્ટ દેખાતી હતી. કારચાલકના કાવતરાનો ભાંડાફોડ થયો હતો.
શહેર પોલીસે વધુ એક સ્પામાં ચાલતા કૂટણખાનાનો ભાંડોફોડ કરી રિસેપ્શનિસ્ટ યુવતી સહિત બેની ધરપકડ કરી હતી, પરપ્રાંતની યુવતીઓ પાસે લોહીનો વેપાર કરી સ્પા સંચાલક કમાણી કરતા હતા. યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલા રિઅલ વેલનેસ સ્પામાં સ્પાના ઓઠા હેઠળ કૂટણખાનું હોવાની માહિતી મળતાં પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો, ડમી ગ્રાહક ત્યાં પહોંચતા રિસેપ્શનિસ્ટ કૃપાલી રમેશ ધડુકે ગ્રાહક પાસેથી એન્ટ્રીના રૂ.1 હજાર વસૂલ્યા હતા, ત્યારબાદ ગ્રાહકને રૂમમાં મોકલી દેવાયો હતો, રૂમમાં પહોંચેલી યુવતીએ ગ્રાહક પાસેથી શરીરસંબંધ બાંધવાના રૂ.3 હજાર વસૂલ્યા હતા, કૂટણખાનું ચાલતું હોવાનું સ્પષ્ટ થતાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ ટીમના પીઆઇ બી.એમ. ઝણકાટ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે રિસેપ્શનિસ્ટ કૃપાલી ધડુક અને મેનેજર સાધુ વાસવાણી રોડ પરના આરએમસી ક્વાર્ટર્સમાં રહેતા ભાવિન દિલીપ ગોહિલની ધરપકડ કરી છ મોબાઇલ સહિત39 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્પામાંથી નેપાળ અને પંજાબની યુવતી મળી આવી હતી, બંનેએ કબૂલાત આપી હતી કે, તે ગ્રાહકો પાસેથી અલગ અલગ રકમ વસૂલતી હતી, સ્પા સંચાલક અમરેલીનો યોગેશ રમણીક જીકાદ્રા જસદણના ગઢાળાનો ભરત હરસુર પાડા હોવાનું ખૂલતા પોલીસે તે બંનેની શોધખોળ શરૂ કરી હતી.
તંત્ર હરકતમાં આવ્યું:હિરાસર એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધી હાઈવે પર ખડકાયેલા તમામ દબાણો હટાવાશે
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તર્જ પર રાજ્યના ચાર અલગ-અલગ ઝોનમાં વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સના આયોજન અંતર્ગત આગામી તા.10થી 12 જાન્યુઆરી દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. જેમાં વડાપ્રધાન મોદી તેમજ વિદેશી મહેમાનો આવનાર હોવાથી હિરાસર એરપોર્ટથી મોરબી હાઇવે પર આવેલ આયોજન સ્થળ સુધીના તમામ દબાણો હટાવાશે. રાજકોટ ખાતે યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા.10,11 અને 12 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સ યોજાશે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી ઉદ્યોગકારો જોડાશે. હાલમાં વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સને લઇ વિવિધ કમિટીઓ બનાવી છે. કમિટી દ્વારા આયોજન સ્થળ, એક્ઝિબિશન સ્થળ, કોન્ફરન્સમાં આવનાર મહેમાનો માટે હોટેલ બુકિંગ સહિતની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીના આગમનને લઈ કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સની તારીખમાં ફેરફાર થયો છે ત્યારે જિલ્લા કલેક્ટરે વડાપ્રધાનના આગમન અંગે સત્તાવાર સૂચના ન મળી હોવાનું જણાવી વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં થનાર એમઓયુનો આંકડો જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં સ્પષ્ટ થશે તેમ જણાવ્યું હતું. બીજીતરફ દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં આવી રહ્યા હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિરાસર એરપોર્ટથી લઈ મારવાડી યુનિવર્સિટી સુધીના માર્ગ પરના તમામ દબાણો હટાવી વાઇબ્રન્ટ કોરિડોર માટે કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો પણ સત્તાવાર સૂત્રોએ આપ્યા હતા.
ખુદ સરકારને પણ B ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિ.માં રસ નથી!:વાઈબ્રન્ટ સમિટ માટે A+ ગ્રેડ ખાનગી યુનિ.ની પસંદગી
રાજકોટમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી મહત્ત્વપૂર્ણ રીજનલ વાઇબ્રન્ટ સમિટના સ્થળની પસંદગીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફગાવી દેવાતા અને એક A+ ગ્રેડની ખાનગી યુનિવર્સિટીમાં આયોજન નક્કી થતાં, રાજ્યની આ સ્ટેટ યુનિવર્સિટીના વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પાંચ હજારથી વધુ ઉદ્યોગપતિઓની હાજરીવાળી આટલી મોટી પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે ખુદ સરકાર જ B ગ્રેડ યુનિવર્સિટીમાં મોટી ઇવેન્ટ યોજવામાં રસ નહીં હોવાની સ્થિતિ સર્જાઈ છે. વાઈબ્રન્ટ સમિટ માટે અગાઉ ઉચ્ચ અધિકારીઓની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત જુદી જુદી જગ્યાની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને સૌરાષ્ટ્ર-કચ્છના ઉચ્ચસ્તરના કાર્યક્રમ માટે જરૂરી ભૌતિક સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), આધુનિક ટેક્નોલોજિકલ સપોર્ટ અને વિશાળ, સુસજ્જ હોલ/વેન્યુનો અભાવ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, યુનિવર્સિટી પાસે ભલે મોટું સંકુલ હોય, પરંતુ તેમાં પાંચ હજાર લોકોને એકસાથે સમાવી શકે તેવી સુવિધા-વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, સેમિનાર હોલ, કોન્ફરન્સ હોલ, ઉદ્યોગકારો માટેની વ્યવસ્થા સહિતની બાબતોમાં આયોજનનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો. વહીવટી તંત્રને સ્પષ્ટ થયું કે, જો આ સ્થળે સમિટ યોજાય તો મહેમાનોને સગવડને બદલે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મેનેજમેન્ટ માત્ર શિક્ષણ પૂરતું જ નહીં, પરંતુ કેમ્પસની જાળવણી અને આધુનિકીકરણના મુદ્દે પણ નિષ્ફળ ગયું છે તેવું આ ઘટનાથી સાબિત થાય છે. આ નિર્ણયથી સરકારે પોતે જ સ્વીકાર્યું છે કે, જાહેર સંસ્થા કરતા ખાનગી સંસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તમ છે. ખાનગી યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ સમિટ યોજવાનો નિર્ણય, સરકારી યુનિવર્સિટીમાં સુવિધાઓની અછત દર્શાવે છે. સેક્ટર–સ્પેસિફિક સેશન્સ, હાઈ-ટેક પ્રેઝન્ટેશન્સ, સ્ટાર્ટઅપ ઝોન્સ અને CEO મીટ જેવી પ્રવૃત્તિઓ માટે પણ જરૂરી આધુનિક સુવિધાઓનો અભાવ દર્શાયો. આ બધાને ધ્યાને લઈને અંતે A+ ગ્રેડ ધરાવતી ખાનગી યુનિવર્સિટીને સમિટ માટે યોગ્ય ગણાઈ. સત્તાધીશો માટે હવે આત્મનિરીક્ષણનો સમયઆ ઘટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી તંત્ર માટે એક આત્મનિરીક્ષણનો સમય છે. જો યુનિવર્સિટી રાજ્યના વિકાસના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન પણ ન કરી શકે, તો તેની શૈક્ષણિક અને સામાજિક પ્રતિષ્ઠા પર ગંભીર અસર પડી શકે છે. સમિટનું સ્થળ બદલાતા B ગ્રેડ યુનિવર્સિટીની બધી ‘પોલ’ ખુલ્લી પડી છે, અને હવે આગામી સમયમાં સુવિધાઓની ગુણવત્તા સુધારવા માટે ત્વરિત પગલાં લેવા અનિવાર્ય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 5 હજારથી વધુ ઉદ્યોગકારો જોડાશેરાજકોટમાં 10થી 12 જાન્યુઆરી વચ્ચે યોજાનારી સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ આખરી તબક્કામાં છે. 5000થી વધુ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોની હાજરી સાથે યોજાનાર આ મેગા બિઝનેસ ઇવેન્ટ અંગે વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે શરૂ કરાયેલું ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS-જીકાસ) એક મોટો વિવાદનો મધપૂડો બન્યું છે. પોર્ટલના કારણે સર્જાયેલા ભારે વિખવાદ, વિદ્યાર્થીઓની હેરાનગતિ અને પ્રવેશ પ્રક્રિયાના ધબડકાને પગલે હવે રાજ્યભરમાંથી તમામ વિદ્યાર્થી સંગઠનો, અધ્યાપકોની હજારો ફરિયાદ, કોલેજોમાં પણ અસંતોષ ફેલાયો છે. જોકે આ વ્યાપક વિરોધ અને માગણીઓને ધ્યાનમાં લેવાના બદલે સરકારે પોર્ટલને ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. જીકાસ પોર્ટલને કેવી રીતે વધુ સારી રીતે ચલાવી શકાય તે અંગે સલાહ આપવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. આ કવાયત સ્પષ્ટપણે દર્શાવે છે કે, સરકાર પોર્ટલ દૂર કરવાના બદલે તેને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. આ કમિટીમાં બે કુલપતિઓ અને એક વિદ્યાર્થી પ્રતિનિધિની નિયુક્તિ કરીને કુલ પાંચ આમંત્રિત સભ્યો સાથે પણ જીકાસ પોર્ટલ ચાલુ રાખવાની કવાયત હાથ ધરી છે. આ કમિટીમાં સ્થાન પામેલા બે કુલપતિ પૈકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોષીને સ્થાન અપાયું છે. જોકે આ કમિટીની રચના પર પણ વિવાદ ઊભો થયો છે. સૂત્રોના મતે, સમિતિમાં માત્ર તે જ અધિકારી અને વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓને સ્થાન અપાયું છે, જેઓ સરકાર કહે તે પ્રમાણે કામગીરી કરવા તૈયાર હોય. સૌથી મોટી વાત એ છે કે, રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આ મહત્ત્વપૂર્ણ સમિતિમાં સ્થાન ન આપતા અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. GCAS પોર્ટલના માધ્યમથી ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં 32થી વધારે રાઉન્ડ કરવા છતાં મોટાભાગની કોલેજોમાં ગત વર્ષની સરખામણીએ ઓછી બેઠકો ભરાઈ હતી. આ લાંબી અને અવ્યવસ્થિત પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓએ ભારે હેરાનગતિ ભોગવી હતી.
ખેલકૂદ મહોત્સવ:40 લાખના ખર્ચે યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ, 3 કોચ નિમાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 54મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું સમાપન થયું છે. જેમાં બે દિવસ દરમિયાન 26 ઇવેન્ટમાં 328થી વધુ ખેલાડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ મહોત્સવની સાથે જ યુનિવર્સિટીના કુલપતિએ રમતગમતની પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવા અને યુનિવર્સિટીના મેદાનોને જીવંત બનાવવા માટે મહત્ત્વની જાહેરાત કરી છે. યુનિવર્સિટી દ્વારા રૂ.40 લાખના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે જિમ અને બેડમિન્ટન કોચ ઉપરાંત હવે હેન્ડબોલ, બાસ્કેટબોલ અને લોન ટેનિસ જેવી ત્રણ નવી રમત માટે પણ કોન્ટ્રાક્ટ આધારિત કોચની નિમણૂક કરવામાં આવશે. નવીનીકરણ માટે બોર્ડ ઓફ સ્પોર્ટ્સની દરખાસ્ત બાદ આ કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ ઓર્ડર આપવામાં આવશે, જેથી ખેલાડીઓને આધુનિક સુવિધાઓ મળી રહે. ભાઈઓમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતાં વનરાજ વાઘેલાએ 36.18 મિનિટમાં દોડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે બહેનોમાં સદગુરુ મહિલા કોલેજની વિદ્યાર્થિની આશા ચારોલાએ 48.46 મિનિટમાં 10,000 મીટર દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. યુનિવર્સિટીના આ પ્રયાસોથી સૌરાષ્ટ્રના યુવાનોમાં રમતગમતની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર થશે તેવી આશા છે.
પશુપ્રેમીઓમાં રોષની લાગણી:આલાબાઈના ભઠ્ઠા પાસે અજાણ્યા શખ્સો પ્રાણીના અંગો ફેંકી ગયા
ન્યૂ જાગનાથ વિસ્તારમાં આલાબાઈના ભઠ્ઠા નજીક ફરી એક વખત અજાણ્યા શખ્સ દ્વારા બલિ ચડાવેલા પ્રાણીઓના કપાયેલા અંગો તેમજ ફૂલો ફેંકી જવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે દેકારો ફેલાયો છે. છેલ્લા બે મહિનામાં ત્રીજી વાર આવી ઘટના બનતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ વખતે સ્થળ દેરાસર નજીક હોવાથી, સ્થાનિકોએ જણાવ્યું કે, આ પ્રકારની હરકતોથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. સ્થાનિક નાગરિકોએ વારંવાર મહાનગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોમાંથી ઘણા લોકોનું માનવું છે કે, રાત્રિ અથવા વહેલી સવારના સમયે કોઈ અજાણ્યો શખ્સ આવી હરકતો કરે છે, અને તંત્ર જો સમયસર કાર્યવાહી ન કરે તો ભવિષ્યમાં આ ઘટના વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ભોપાળું છતું થયું:લોધિકાના પીપરડીમાં સરકારી ખરાબામાં આશ્રમ ઊભો થઈ ગયો
લોધિકાના પીપરડીમાં રેવન્યુ સરવે નંબર 218 પૈકીની 2 હજાર ચોરસ મીટર જમીન પર આશ્રમનું બાંધકામ કરી આશ્રમ સંચાલક સંજય ગોવિંદભાઇ ગોહેલ દ્વારા જીગાબાવા ટ્રસ્ટના નામે નોંધણી કરાવવા જતા ચેરિટી કમિશનરની તપાસમાં આશ્રમ સંચાલકે સરકારી જમીનમાં દબાણ કર્યું હોવાનું સામે આવતા ચેરિટી કમિશનરે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો. ચેરિટી કમિશનરના રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા લોધિકા મામલતદારને તપાસ કરી પગલાં ભરવા આદેશ કરતા સમગ્ર ભોપાળું છતું થયું છે. છેલ્લા દસ વર્ષથી પીપરડી ગામે 2000 ચોરસમીટર સરકારી જમીનમાં આશ્રમનું દબાણ કરી લીધું હોવાનું સામે આવતા દબાણ કેસ ચલાવી જીગાબાવા આશ્રમના સંચાલકને રૂ.23,200નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
કાર્યક્રમમાં ગીતોએ લોકોને ડોલાવ્યા:‘એક અમર અવાજ મોહમ્મદ રફી’ ગીતોનો કાર્યક્રમ યોજાયો
શહેરના હેમુ ગઢવીના મિનિ હોલમાં તાજેતરમાં મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબના જન્મ શતાબ્દી વર્ષને અનુલક્ષીને એમણે ગાયેલા અણમોલ ગીતોનો કાર્યક્રમ “એક અમર અવાજ મોહમ્મદ રફી’ યોજાયો. કાર્યક્રમના એક એક ગીતને લોકોએ તાલીઓનાં ગડગડાટથી વધાવી લીધું હતું. રફી સાહેબના અમર ગીતોને અનવર હાજી, તૃપ્તિ દવે, રાજ પંજાબી અને દીપ્તિ બાલાસરાએ સુંદર રીતે રજૂ કર્યા હતાં. જ્યારે સંગીત નિયોજનમાં શૈલેષ પંડ્યા, અનુપસિંહ ચૌહાણ, નિલેશ પાઠક, દેવાંગ જાની, સાજીદખાન સાથ આપેલ કાર્યક્રમનું સંચાલન દિનેશ બાલાસરા દ્વારા કરવામાં આવ્યું હતું. બુધવારની રાત્રે રફીમય બની ગઈ હતી. આર.ડી. ઇવેન્ટ્સ અને પરેશ પોપટ દ્વારા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી જનતા માટે વિનામૂલ્યે યોજાયેલ કાર્યક્રમને ઉપસ્થિત જનતાએ મન ભરીને માણ્યો હતો.
જલકથા:દેશની 111 પવિત્ર નદીના 25 જળકળશનું પૂજન, આરતી કરાઇ
રાજકોટમાં છેલ્લા 10 દિવસથી ઘરે-ઘરે 111 પવિત્ર નદીના જળનું કળશ પૂજન થાય છે. આ તકે ટ્રસ્ટ દ્વારા એસ.વી. વિરાણી કોલેજ ખાતે 25 કળશનું 60 વિદ્યાર્થી, કોલેજના ટ્રસ્ટી, સ્ટાફ સહિત દરેકે પૂજન તથા આરતી કરી હતી. જેમાં ગીરગંગા ટ્રસ્ટમાંથી ગીતાબેન મકવાણા, વસંતભાઇ લીંબાસિયા તથા કોલેજના પ્રિન્સિપાલ બીનાબેન ત્રિવેદી, ટ્રસ્ટી પ્રવીણાબેન ચોવટિયા, રસીલાબેન રામાણી ઉપસ્થિત રહ્યા હતા. શહેરના બહુમાળી ભવનથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીની ભવ્ય કળશયાત્રા 14મીએ રવિવારે સવારે 8 વાગ્યે પ્રારંભ થશે. જેમાં વાજતે-ગાજતે 111 નદીના જળના કળશ લઇ જઇ તેનું પૂજન અને મહાયજ્ઞ થશે. હાલ 13મી સુધી દરેક લોકોના ઘેર-ઘેર આ જળકળશનું પૂજન કરવામાં આવે છે.
SOG દ્વારા ચેકિંગ:રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં એસઓજીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું
તાજેતરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે જેને ધ્યાનમાં રાખી રાજ્યભરનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. દિલ્હીના બોમ્બ ધડાકાની ઘટના બાદ એલર્ટ બનેલી રાજકોટ એસઓજી પોલીસે ગુરુવારે નવા કોર્ટ બિલ્ડિંગમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. નવા કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્યુઆરટીની ટીમને સાથે રાખી એસઓજીની ટીમે તમામ વિભાગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. લગભગ એક કલાકથી વધુના સમયગાળા દરમિયાન કરેલી કાર્યવાહી બાદ કંઇ વાંધાજનક મળ્યું ન હતું.
સાયબર ગઠિયાઓ દેશના કોઇપણ ખૂણે રહેતા લોકોને પોતાની જાળમાં ફસાવી નાણાં પડાવી લે છે અને ફ્રોડની રકમ અન્ય રાજ્યના બેંક એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં જમા કરાવી લઇ ચેઇન મારફત તે રકમ વિદેશ બેઠા બેઠા હસ્તગત કરી લે છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુરુવારે છ ફરિયાદમાં 19 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. રાજકોટના રિક્ષાચાલક, શાકભાજીના ધંધાર્થી, ક્ષૌરકર્મ અને મજૂરી કરતાં લોકોના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા હતા અને તેમને પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા બદલ રૂ.1 હજારથી માંડી IT નોટિસ આપે ત્યાં સુધીમાં બધું સગેવગે થઈ જાય છેસાયબર ફ્રોડમાં જે વ્યક્તિની ‘કિટ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ ગરીબ અથવા તો અત્યંત ગરીબ હોય છે. તેના નામે લાખો-કરોડો નહીં અમુક કિસ્સામાં અબજો રુપિયાના વહિવટ બેથી ત્રણ વર્ષમાં કરી નાખવામાં આવે છે. ત્યાં સુધી કોઈને પણ એટલે કે આખી સરકારી મશીનરીમાંથી કોઈને પણ જાણ નથી થતી. ત્યારબાદના બે કે ત્રણ વર્ષ પછી ઈન્કમટેક્સ જેના નામે નાણાંકિય વ્યવહાર થયા હોય તેને નોટિસ આપે છે. જો કે, ત્યાં સુધીમાં તો રૂપિયા વિદેશમાં અથવા તો અલગ-અલગ ગેંગના માફિયાઓ સુધી પહોંચી ગયા હોય છે. આ બે કિસ્સા પરથી સમજો તપાસના નામે કેવા-કેવા નાટક થાય છેરાજકોટ ઈન્કમટેક્સે ભગુ પાલા ટોયટાને 23 કરોડ જ્યારે વાલદાસ બળવંતરાય દેવમુરારીને 46 કરોડની નોટિસ અનુક્રમે 2021-22 અને 2018-19માં થયેલા વ્યવહારો સંદર્ભે 3 અને 6 વર્ષે નોટિસ આપીને ખુલાસો પૂછ્યો છે કે, તમે કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા તો ઈન્કમટેક્સ શા માટે નથી ભર્યો? આ બન્ને વ્યક્તિ અત્યંત ગરીબ છે અને આ બન્નેના ખાતા ભાડેથી મેળવીને કારસ્તાન કરાયું છે. હવે આ બન્ને પાસેથી રાતીપાઈ પણ વસૂલી શકાય તેમ નથી. ભાસ્કર ઈન્સાઈડસાયબર ફ્રોડના કિસ્સામાં રૂપિયા પરત મળવા મુશ્કેલસાયબર ગઠિયાઓ છેતરપિંડીના નાણાં અન્ય લોકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે અને નાની રકમના કમિશનની લહાયમાં શ્રમિકો પોતાના બેંક એકાઉન્ટની કિટ અન્યોને આપી દે છે. આવા ગુનાથી બચવા માટે લોકોએ પોતાની બેંક કિટ કોઇને આપવી જોઇએ નહીં, નાની રકમની લહાયમાં ન ફસાવવું.> જગદીશ બાંગરવા, ડીસીપી ક્રાઇમ
મૃતપ્રાય વહીવટ:વ્યક્તિ જીવિત હતો તે તારીખનું મૃત્યુનું પ્રમાણપત્ર આપી દીધું
રાજકોટ મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં સપ્ટેમ્બર-2025થી નવા સોફ્ટવેર પર કામ શરૂ કર્યા બાદ સતત ફરિયાદો ઊઠી રહી છે અને અરજદારો હેરાન થઇ રહ્યા છે અને હવે તો આ નવા સોફ્ટવેરે હદ કરી દીધી છે. થોડા સમય પહેલાં જન્મ-મરણ શાખાએ મૃત્યુ પામેલા વ્યક્તિ જીવિત હતા તે તારીખનું ડેથ સર્ટિફિકેટ કાઢતા મૃતકનો પરિવાર આઘાતથી સ્તબ્ધ બની ગયો હતો અને પરિવારના મોભી જીવતા હતા અને સારવારમાં હતા ત્યારે જન્મ-મરણ શાખાએ તેમને મૃત બતાવતા વિભાગમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ પણ આ મરણ પ્રમાણપત્રમાં સુધારો થયો ન હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટની મધુરમ હોસ્પિટલમાં 47 વર્ષના એક આધેડ સારવાર હેઠળ હતા અને ગત તા.5ના રોજ આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સંદર્ભે હોસ્પિટલ દ્વારા મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખાને જાણ કરવામાં આવ્યા બાદ બે દિવસ પહેલાં ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં મોટો છબરડો કરાતા આધેડના પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. જન્મ-મરણ વિભાગે તા.5-12-2025ના રોજ નિધન પામનાર આધેડ જીવિત હતા તે તા.4-12-2025નું ડેથ સર્ટિફિકેટ બનાવી તેમના પરિવારજનોને આપતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તથા જન્મ-મરણ વિભાગમાં જવાબદાર અધિકારીઓને આ મુદ્દે રજૂઆત કરી હતી, પરંતુ આજદિન સુધી તેમને નવી સુધારેલી તારીખનું મરણ પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટિફિકેટ ન મળ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. સુધારેલું ડેથ સર્ટિફિકેટ ન મળતા આધેડનો પરિવાર ચિંતામાં મુકાયો છે અને આવી ક્ષતિના અન્ય અરજદારો પણ ભોગ બન્યાનું મનપાના સૂત્રોએ જણાવ્યું છે. સોફ્ટવેરમાં બગ આવી જતા AM-PM અને તારીખમાં છબરડાં થતાં હોવાની કબૂલાતઆ મુદ્દે આરોગ્ય વિભાગના અધિકારીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, જન્મ-મરણ શાખામાં વપરાતા કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલમાં ટેક્નિકલ બગને કારણે મૃત્યુ તારીખ 5ને બદલે 4 થઇને આવી છે. આવા અનેક છબરડાં હાલમાં સોફ્ટવેરમાં બગ આવવાથી થઇ રહ્યા છે. જેમાં AM હોય તો PM થઇ જાય છે અને PM હોય તો AM થઇ જાય છે. તેમજ તારીખ આગળની અથવા પાછળની છપાઇ જાય છે. જેના પરિણામે અરજદારો હેરાન થઇ રહ્યા છે. મનપા પાસે 1942થી જન્મ-મરણના ડેટા છે, પરંતુ CRS પોર્ટલ પર ટ્રાન્સફર થતા નથીમનપા પાસે 1942ની સાલથી જન્મ-મરણના ડેટા ઉપલબ્ધ છે. અગાઉ મહાનગરપાલિકાના પોર્ટલમાંથી જન્મ-મરણના પ્રમાણપત્ર નીકળતા હતા.ત્યારબાદ 1 ઓક્ટોબર 2020થી રાજ્ય સરકારના ઇ-ઓળખ પોર્ટલ પર જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢવાનું શરૂ કરાયું હતું. ત્યારબાદ 1લી સપ્ટેમ્બર-2025થી કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલ પરથી જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢવાના શરૂ કરાયા છે, પરંતુ હજુસુધી રાજ્ય સરકાર હસ્તકના પોર્ટલના ડેટા કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલમાં ટ્રાન્સફર કરી શકાયા નથી. તેમજ કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલમાં ડેટા સબમિટ કરવામાં લાંબી પ્રક્રિયા હોય અને અવારનવાર સર્વરની સમસ્યા સર્જાઇ છે. તેમજ મનપાના સબ રજિસ્ટ્રારને બાદ કરતા આરોગ્ય અધિકારી સહિતના કોઇને પણ હજુસુધી કેન્દ્ર સરકારે યુઝર આઇડી અને પાસવર્ડ આપ્યા નથી. જેથી 18 વોર્ડ ઓફિસમાં દાખલા કાઢવાની કામગીરી બંધ છે. મનપાએ ગુજરાત સરકારને ફરિયાદ કરી અને ગુજરાત સરકારે ભારત સરકારને રાવ કરીસીઆરએસ પોર્ટલમાં છબરડો થયા બાદ તેમાં સુધારો કરી શકાતો નથી. જેના પરિણામે અરજદારોની હાલત કફોડી બની રહી છે. આથી આ મુદ્દે ગાંધીનગર ટેક્નિકલ ક્ષતિ સુધારવા જાણ કરી છે અને ગાંધીનગર રજિસ્ટ્રાર દ્વારા ભારત સરકારના રજિસ્ટ્રારને આ મુદ્દે જાણ કરી સીઆરએસ પોર્ટલમાં થતા છબરડાં અટકાવવા રજૂઆત કરાઇ છે. > ડો.જયેશ વંકાણી, આરોગ્ય અધિકારી, મનપા
સિટી એન્કર:મનપાની મિલકતોની 39 કરોડના ખર્ચે સુરક્ષા નહીં થાય
રાજકોટ મહાનગરપાલિકાની ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં 24માંથી 4 દરખાસ્ત પેન્ડિંગ રાખવા નિર્ણય કરાયો હતો. જેમાં મહાનગરપાલિકાની મિલકતોની સુરક્ષા માટે ખાનગી એજન્સીઓ સાથે રૂ.39.84 કરોડના ખર્ચે દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ કરવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ ઉપરાંત જુદી-જુદી શાખાઓના કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવા અને ઓડિટ શાખામાં બઢતી આપવા અને રણછોડનગરની શાળાનું સંચાલન સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને સોંપવાની દરખાસ્તો વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગની બેઠકમાં રૂ.1.84 કરોડની આવક સામે રૂ.143.07 કરોડના ખર્ચે ન્યારી ડેમ આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સહિત કુલ 15 દરખાસ્ત મુજબ રૂ.162.84 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકાની માલ મિલકતના રક્ષણ માટે બે વર્ષના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેરાત આપવામાં આવી હતી, જેમાં કુલ 25 એજન્સીએ બીડ રજૂ કર્યા હતા જેમાંથી પાંચ એજન્સીઓ ડિસક્વોલિફાઇ થઇ હતી. જ્યારે બાકીની 17 એજન્સી દ્વારા 0.01 ટકા કરતાં વધુ સર્વિસ ચાર્જ ભરપાઇ કરાયો હોય ટેન્ડર મૂલ્યાંકન કમિટી દ્વારા તે મંજૂર કરાતા કમિશનર દ્વારા દરખાસ્ત કરાઇ હતી. આ દરખાસ્ત મુજબ મનપાની 22 શાખાના 334 પોઇન્ટ પર 724 સિક્યોરિટી ગાર્ડની જરૂર બતાવી પ્રથમ વર્ષ માટે રૂ.20.12 કરોડ અને બીજા વર્ષ માટે રૂ.19.72 કરોડનો ખર્ચ મળી કુલ રૂ.39.84 કરોડનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે ચીફ ફાયર ઓફિસર, ઝૂ સુપરિન્ટેન્ડન્ટ, 2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લેબર ઓફિસર, લો ઓફિસર, 6 સેનિટેશન ઓફિસર, 37 સેનિટરી ઇન્સ્પેક્ટર, જન્મ-મરણ વિભાગના 3 સુપરિન્ટેન્ડન્ટ, 23 સફાઇ સુપરવાઇઝર સહિત કુલ 75 અધિકારી-કર્મચારીને સાતમા પગાર પંચના અલગ-અલગ લેવલ મુજબ પગારવધારો કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ બાબતે કર્મચારી યુનિયનની રજૂઆતના પગલે વધુ અભ્યાસ અર્થે દરખાસ્ત પેન્ડિંગ રખાઇ છે. જ્યારે ઓડિટ શાખામાં ખાલી પડેલી સબ ઓડિટરની ભરતી કરવા 3 કર્મચારીને બઢતી આપવા દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં કર્મચારી યુનિયન દ્વારા 11 કર્મચારી બઢતીને પાત્ર હોય તમામને લાભ આપવા રજૂઆત કરાતા આ બાબત મેયર સાથે ચર્ચા કરવા પેન્ડિંગ રાખવામાં આવી છે. ક્યાં કામ માટે કેટલા રૂપિયાનો ખર્ચ મંજૂર સંકલનમાં ભાજપના 20થી વધુ કોર્પોરેટર ગેરહાજર, ખુલાસા પૂછતાં શહેર પ્રમુખમનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અનેક કોર્પોરેટરો છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ બહાના હેઠળ ગેરહાજર રહીને પદાધિકારીઓના નિર્ણયનો ભાગ બનવાનું ટાળી રહ્યા છે ત્યારે ગુરુવારે મળેલી સંકલનની બેઠકમાં ભાજપના 20થી વધુ કોર્પોરેટર ગેરહાજર રહેતા તમામના ખુલાસા પૂછાશે તેમ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું. અમુક કોર્પોરેટરોને ટેલિફોનિક ખુલાસા પૂછતા તેઓએ લગ્ન પ્રસંગોમાં હોવાનું કારણ આપ્યું હતું.
ભાસ્કર એક્સક્લૂસિવ:સિવિલમાં 26 સગર્ભાના પ્રસૂતિ સમયે મોત
ગુજરાતમાં “માતા મૃત્યુદર’માં ઘટાડો લાવવા માટે માત્ર રાજ્ય સરકાર જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા માતા મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે, જયારે સ્થિતિ એટલી ગંભીર છે કે, છેલ્લા આઠ મહિનાનો અહેવાલ ચકાસવામાં આવે તો ચાલુ વર્ષ દરમિયાન જ 6 મહિલાનાં પ્રસૂતિ દરમિયાન મોત થયા છે. તેમજ આરોગ્ય વિભાગના રેકોર્ડ મુજબ વર્ષ(2023થી 2025 સુધી) અર્થાત છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 26 જેટલી સગર્ભા માત્ર ઝનાના હોસ્પિટલમાં મૃત્યુ પામી છે. જ્યારે ત્રણ વર્ષમાં માતા મૃત્યુઆંક સમગ્ર રાજકોટમાં ચકાસતા 42 મહિલાના મૃત્યુ થયા છે. આ મામલે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે થયેલી વાતચીતમાં અધિક્ષકે વારંવાર આંકડો ઉજાગર ન કરવાની વાત કરી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 26 મહિલા, ખાનગી હોસ્પિટલમાં કુલ 11 મહિલા જ્યારે ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચતા રસ્તામાં કુલ 5 મહિલા મળીને એમ કુલ 42 મહિલા પ્રસૂતિ સમયે મૃત્યુ પામેલ છે. સામાન્ય રીતે માતા મૃત્યુઆંક વધવા કે ઘટવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. માતા મૃત્યુદર વધવા પાછળના કારણોમાં મુખ્ય કારણ ગર્ભાવસ્થામાં વધુ રક્તસ્ત્રાવ, અનિયંત્રિત બ્લડપ્રેશર, ગર્ભાશયમાં ઇન્ફેક્શન, સમય ગુમાવ્યા બાદ રીફર પામવું, એનિમિયા તેમજ ડાયાબિટીસ,હાર્ટ ડિસીઝ જેવી હાઈરિસ્ક બીમારીઓ અને હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની અછત વગેરે સ્થિતિ જવાબદાર હોય છે. સિવિલના અધિક્ષક ડૉ.મોનાલીબેન માંકડિયાની આંકડા છુપાવવા કોશિશહોસ્પિટલના સત્તાધીશોએ માતા મૃત્યુઆંક કેટલો છે તેની વિગતો છૂપાવી હતી. આરોગ્ય વિભાગના રેકોર્ડ અનુસાર રાજકોટ સિવિલમાં પ્રસૂતિ વેળાએ મરણ પામેલી માતાની યાદી વધુ જણાતા આ બાબતે દિવ્ય ભાસ્કરે માતા મૃત્યુઆંક વધારે હોવાનું કારણ પૂછવામાં આવતા ડૉ.મોનાલીબેને સતત એક જ વાત પર ભાર મૂક્યો હોય કે, ‘માતા મૃત્યુઆંક ઉજાગર ન કરવો.’ રાજકોટમાં 3 વર્ષમાં ખાનગી સહિતની હોસ્પિટલમાં 42 સગર્ભાના મૃત્યુ થયા
સુંદર આલેખન:શેરીના પરંપરાગત ઘરોની સુંદરતાનું કેનવાસ પર સુંદર આલેખન
ગોપીપુરા વિસ્તારમાં અર્બન સ્કેચર્સ દ્વારા લાઈવ પેઇન્ટિંગ સેશન યોજાયું. જેમાં આર્ટિસ્ટે જુદી-જુદી શેરીઓમાં ફરીને આસપાસના વાતાવરણને ધ્યાનપૂર્વક નિહાળ્યું હતું અને ત્યારબાદ લાઈવ પેઇન્ટિંગ થકી શેરીના દૃશ્યને આબેહુબ કેનવાસ પર ઉતાર્યું હતું. જેમાં તેમણે જૂના મકાન, શેરીમાં મુકેલી ગાડી અને પરંપરાગત ઘરોની સુંદરતાને કેનવાસ પર દર્શાવી હતી. સ્થાનિક લોકો માટે આ એક અનોખો અનુભવ હતો, જેઓ આસપાસની જગ્યાને રોજિંદા જીવનમાં સામાન્ય રીતે જોતા હતા, તેને કલાકારોની નજરથી નવી રીતે નિહાળવા મળ્યું હતું.
પાટણ પાલિકા પ્રમુખે કરી રજૂઆત:જુનિયર ટાઉન પ્લાનરની નિયમિત નિમણૂક માટે શહેરી વિકાસ વિભાગને પત્ર
પાટણ નગરપાલિકાના પ્રમુખે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને પૂર્ણકાલીન, નિયમિત જુનિયર નગર નિયોજક (Junior Town Planner) ફાળવવા માટે રજૂઆત કરી છે. પાટણ 'અ' વર્ગની નગરપાલિકા હોવાથી, હાલમાં વિકાસ પરવાનગીઓ પડતર રહેતા અરજદારોને તકલીફ પડે છે. શહેરના વિકાસને વેગ આપવા અને આયોજન સુચારુ બનાવવા આ નિમણૂક જરૂરી હોવાનું જણાવાયું છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમારે સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરને પત્ર લખીને જુનિયર નગર નિયોજક વર્ગ-2ની પૂર્ણકાલીન નિયમિત નિમણૂક કરવા વિનંતી કરી છે. પ્રમુખ હિરલ પરમારની રજૂઆત અનુસાર, હાલમાં પાટણ નગરપાલિકા ખાતે ઊંઝા નગરપાલિકાના એમ.વી. પટેલ, જુનિયર નગર નિયોજક વર્ગ-2ને વધારાનો ચાર્જ સોંપવામાં આવેલો છે. પાટણ 'અ' વર્ગની નગરપાલિકા હોવાથી, વિવિધ વિકાસ પરવાનગીઓ હાલમાં પડતર રહેલી છે. આને કારણે પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં વિવિધ વિકાસ પરવાનગીઓ મંજૂર કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે, જેના પરિણામે અરજદારોને હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત, પાટણ શહેરનો ડી.પી. પ્લાન હાલમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં વિચારણા હેઠળ છે, જેમાં ઘણી પૂર્તતાઓ કરવાની બાકી છે. સાથે જ, નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો પણ મૂકવાની થતી હોવાથી, આ તમામ કામગીરી માટે પાટણ નગરપાલિકા ખાતે નિયમિત જુનિયર નગર નિયોજક મૂકવામાં આવે તો શહેરના વિકાસને વેગવંતો બનાવી શકાય અને સુચારુ શહેરનું પ્લાનિંગ થઈ શકે. આ હેતુથી પૂર્ણકાલીન જુનિયર નગર નિયોજક વર્ગ-2ને નિયમિત મુકવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન:વૈજ્ઞાનિક પદ્ધતિથી વધુ ગુણ મેળવવા માર્ગદર્શન અપાયું
કડીવાલા સ્કૂલ એલુમનાઈ એસોસિએશન દ્વારા 510 વિદ્યાર્થીઓ માટે ‘પરિણામ સુધારવાના સ્માર્ટ પ્રયાસો’ વિષય પર કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રથમ ઉપાધ્યક્ષ અને એસોસિએશનના પ્રમુખ ડૉ. કિશોરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને ધ્યાન, શ્રમ અને સંકલ્પના મહત્વ જણાવ્યું હતું. કોર્પોરેટ ટ્રેનર મૃણાલ શુક્લે ‘વૈજ્ઞાનિક અભિગમથી કેવી રીતે વધુ ગુણ મેળવવા’ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનું આયોજન શૈલેષ દેસાઈ, સેક્રેટરી કડીવાલા સ્કૂલ એલુમનાઈ એસોસિએશન, દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપ-પ્રમુખ અશોકભાઈ ભગવા વાલા અને પ્રિન્સિપલ સુરેન્દ્રભાઈ વાડીલે અને વાલી મંડળના પ્રમુખ રશ્મિકાંતભાઈ પટેલ હાજર રહ્યા હતા.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધોરણ-10ના વિદ્યાર્થીઓનો એક્ઝામ ફિવર દૂર કરીને બોર્ડની પરીક્ષામાં મિશન 100% સફળતા હાંસલ કરવા માટે મહત્વાકાંક્ષી આયોજન કર્યું છે. શહેરની 1700થી વધુ સ્કૂલના 92 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે 16 જાન્યુઆરીથી પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બોર્ડની પરીક્ષાનું ફાઇનલ રિહર્સલ સાબિત થશે. આ પરીક્ષા 22 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે અને તે બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ જ ગોઠવવામાં આવી છે. DEO કચેરી દ્વારા મુખ્ય વિષયો જેવા કે ગુજરાતી, અંગ્રેજી, ગણિત (સ્ટાન્ડર્ડ, બેઝિક), વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રો કેન્દ્રીયકૃત રીતે આપવામાં આવશે. આ આયોજન ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી માધ્યમની શાળાઓ માટે કરવામાં આવ્યું છે. નબળા વિધાર્થીઓ માટે ઉપચારાત્મક વર્ગો યોજાશે મિશન સફળ કરવાનું દરેક સ્કૂલે રિઝલ્ટનું વિશ્લેષણ કરીને, નબળા વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ઉપચારાત્મક વર્ગો શરૂ કરવા. અમારું લક્ષ્ય ફાઇનલ રિહર્સલ દ્વારા મિશન 100% સફળ બનાવવાનું છે. > ડો. ભગિરથસિંહ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી, સુરત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં એક્ઝામ ફિવર દૂર કરવા બોર્ડની પહેલ,પરિણામના આધારે વિષયવાર બેઠક કરી પ્રશ્નપત્રની સમીક્ષા કરાશે એક્સપર્ટ વિદ્યાર્થીઓ માટે ભૂલો સુધારવાની તક, વાલીઓ સકારાત્મક વાતાવરણ પુરું પાડે પ્રિ-બોર્ડ પરીક્ષા માત્ર એક ટેસ્ટ નથી, પણ બોર્ડની મુખ્ય પરીક્ષા પહેલાંની તમારી તૈયારીનું આત્મનિરીક્ષણ છે. રિઝલ્ટ પછી વિદ્યાર્થીઓએ માર્ક્સ જોઈને નિરાશ થવાને બદલે તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું જોઈએ. ખાસ કરીને કયા વિષયો કે પ્રકરણોમાં ગુણ ઓછા આવ્યા છે અથવા કયા પ્રશ્નોમાં સમય વધુ લાગ્યો, તેનું નિરીક્ષણ કરો. આ છેલ્લી અને સૌથી મોટી તક છે કે જ્યાં તમે ભૂલોને સુધારી શકો. આ ફાઇનલ રિહર્સલ માં થયેલી દરેક નાની-મોટી ખામીને દૂર કરવાથી જ આત્મવિશ્વાસ વધશે અને તમે મુખ્ય બોર્ડ પરીક્ષામાં મિશન 100% ને સફળ બનાવી શકશો. યાદ રાખો ભૂલો સુધારવાનો સમય હવે જ છે. વાલીઓએ આ સમય દરમિયાન બાળક પર માર્ક્સનું દબાણ કરવાને બદલે સકારાત્મક વાતાવરણ પૂરું પાડવું જોઈએ. બાળકના આહાર અને ઊંઘનું ધ્યાન રાખવું અને પ્રિ-બોર્ડના પરિણામને હકારાત્મક રીતે લેવામાં મદદ કરવી જોઈએ. > ડો. અનિષા મહિડા, શિક્ષણવિદ-પ્રિન્સિપાલ
પાલિકા સંચાલિત 29 સુમન સ્કૂલોમાં સ્વચ્છતા જાળવવા હાઉસ કિપિંગનો કોન્ટ્રાક્ટ અપાશે. ગુરૂવારે સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગેનો કોન્ટ્રાક્ટ કેવલા સિક્યુરિટી સર્વિસીસને સોંપવાનો નિર્ણય લેવાયો છે. હાઉસ કિપિંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ 39.75 લાખ ને ખર્ચે ફાળવવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, 39.75 લાખ રૂપિયાના વાર્ષિક ખર્ચે શહેરની તમામ 29 સુમન સ્કૂલોમાં હાઉસ કિપિંગ સ્ટાફ મુકવા માટે કોન્ટ્રાક્ટ સોંપાશે. આ સ્ટાફ રોજિંદી રીતે શાળાઓમાં વર્ગખંડોની સફાઈ, શૌચાલયોની યોગ્ય રીતે સફાઈ સહિતની જાળવણીનું કામ કરશે. બાયોમેટ્રિક ફરજિયાતઆ કોન્ટ્રાક્ટમાં નવી શરત ઉમેરવામાં આવી છે કે, એજન્સીએ તમામ શાળાઓમાં હાઉસ કીપીંગ સ્ટાફ માટે બાયોમેટ્રીક હાજરી સિસ્ટમ લગાવવી ફરજિયાત રહેશે. જો બાયોમેટ્રીક સિસ્ટમ નહીં લગાડશે તો કોન્ટ્રાક્ટ ફાળવાશે નહીં,
યુવકે કર્યો આપઘાત:ઈચ્છાપોરમાં થાંભલા પર ચડી વીજતાર પકડી યુવકનો આપઘાત
ઈચ્છાપોરમાં માનસીક બીમાર યુવકે વીજથાભલા પર ચડી જીવંત વાયર પકડીને આપઘાત કરી લીધો હતો. બીમારીના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. મોરાગામ પારસીવાડ ખાતે રહેતો પ્રકાશ વસાવા (29) મજૂરી કામ કરી માસી સાથે રહેતો હતો. ગુરૂવારે મળસ્કે પ્રકાશ સેવનસ્ટાર રેસિડન્સી સામે 8 ફૂટની દીવાલ પર ચડી ત્યાંથી વીજથાંભલા પર ચડી ગયો હતો અને જીવંત વાયર પકડી લેતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી પ્રકાશ માનસીક બીમાર હોવાનું અને બીમારીના કારણે તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
પીપલોદની કથામાં કૃષ્ણ જન્મ ઉજવાયો:ભાગવત આપણને જીવન જીવવા શક્તિ પૂરી પાડે છે : અખિલેશજી
પિપલોદ શ્રીહરિ એપાર્ટમેન્ટમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથામાં વ્યાસપીઠ પરથી વૃંદાવનના અખિલેશ મહારાજે ભાગવતનું વ્યાખ્યાન કર્યું હતું. કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, બાળલીલા, રુક્મણી વિવાહ વગેરે પર વિસ્તૃત વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રસંગો પર સુંદર ઝાંખીઓ સજાવવામાં આવી હતી અને નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ પણ થઈ હતી. ભાગવત કથામાં મહારાજે જણાવ્યું કે ભાગવત કથા આપણને અનેક પ્રેરણાઓ આપીને જીવન જીવવાની શક્તિ પૂરી પાડે છે. કથા દરમિયાન ગાય માતા વિશે પણ વિસ્તારથી જણાવવામાં આવ્યું હતું. કૃષ્ણની લીલા વિશે જણાવતા તેમણે કહ્યું કે ભગવાનની પ્રત્યેક લીલા આપણને કોઈને કોઈ સંદેશ આપે છે.
સાઇબર ઠગાઈ:ફોન હેક કરી, OTP વિના એક કલાકમાં જ ટ્રાન્સપોર્ટરના 10 લાખ સેરવી લેવાયા
પુણા કુંભારીયા વિસ્તારમાં રહેતા ટ્રાન્સપોર્ટરના મોબાઇલ ફોન હેક કરીને ગઠીયાએ એક જ કલાકમાં તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ.10.65 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. પુણા કુંભારીયા નેચરવેલી સોસાયટીમાં રહેતા શિશરામ શેરસિંઘ ચૌધરી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તા.2 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના ડ્રાઇવરને ગુગલ પે મારફતે 20 હજાર ટ્રાન્સફર કરવા ગયા હતા. પણ બેંકમાંથી બેલન્સ ન હોવાનો મેસેજ આવ્યો હતો જ્યારે તપાસ કરતા તેમના ખાતામાં માત્ર રૂ.428 જમા હતા. જ્યારે તપાસ કરતા તા.2 નવેમ્બરના રોજ સવારે 11થી 12 વાગ્યા દરમિયાન 10 જેટલા ટ્રાન્જેકશન થકી રૂ.10,65,375 કોઇ ગઠીયાએ ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે શિશરામ ચૌધરીના મોબાઇલ ફોન પર કોઇ મેસેજ કે ઓટીપી પણ આવ્યા ન હતા. આખરે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે. ભાસ્કર એક્સપર્ટ*--# વાળા કોડ ટાઇપ કરી મોકલવા નહીંસ્કેમરો દ્વારા ફોન કરીને કે એસએમએસ દ્વારા *--# ટાઇપ કરીને પાછળ નંબર ટાઇપ કરવાનું કહેવામાં આવે છે. આવુ કોઇ ટાઇપ કરવું નહીં અન્યથા તમારા મોબાઇલના એક્સીસ તેની પાસે પહોંચી જાય છે અને તે તમારો મોબાઇલ ફોન હેક કરીને ફ્રોડ કરી શકે છે. > મીત શાહ, સાયબર એક્સપર્ટ
ભાસ્કર એક્સક્લુસિવ:શિવકથા એ જીવ માત્રના કલ્યાણની વાત સાથે 9 દિવસનું અનુષ્ઠાન છે : ગીરીબાપુ
વેસુ મહાવીર કોલેજ સામેના ગ્રાઉન્ડમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભે નીકળેલી શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી. કથાના પ્રારંભે વક્તા ગીરીબાપુએ જણાવ્યું હતું દરેકના ભાગ્યમાં કથા નથી હોતી કારણ કે કથા પૂણ્યવાન લોકો માટે છે. કથા સાંભળ્યા પછી એકાંતમાં બેસીને ક્યારેય તે પણ વિચાર કરવો જોઈએ કે આ એવું વિશાળ જગત છે કેટલો ઈશ્વરનો મોટો વૈભવ છે તેનો સંચાલન કોણ કરે છે. જગતનો ઉદય કરે છે,રક્ષા કરે છેઅને પ્રલય કરે છે તે કોણ છે. તે કોણ પરમ સત્ય છે પરમ તત્વ છે જગતનો પ્રારંભ કરે છે સંચાલન કરે છે તેનો વ્યવહાર કેવો હશે તેનો સ્વભાવ કેવો હશે તેનું ગ્રુપ કેવું હશે તેનો પણ ક્યારેક વિચાર કરવો જોઈએ તો જ ઈશ્વરની શક્તિ શું છે તેની પ્રતિતી થાય છે જગતના જીવ માત્ર શિવનો જ અંશ છેકથાનું મંગલાચરણ કરતા વક્તા ગીરીબાપુએ જણાવ્યું હતું કે શિવ કથા જીવ માત્રના કલ્યાણ માટેની વાત છે મોટીવેશન છે અનુષ્ઠાન છે. આ જગતમાં દરેક જીવ ભગવાન શિવનો અંશ છે. જેમ દરેક કિરણ સૂર્યનો અંશ છે તેમ જીવમાત્ર શિવનો અંશ છે. દુનિયામાં 20,000થી વધારે સંપ્રદાયો છે પરંતુ દુનિયામાં સૌથી વધારે સંખ્યા મહાદેવના ભક્તોની છે.
આજે ક્ષેત્રપાળ દાદાની સાલગીરી:450 વર્ષ જૂના મંદિરમાં હનુમાનજી, કાળભૈરવ અને બટુકભૈરવ બિરાજમાન છે
સુરતના સગરામપુરા ક્ષેત્રમાં આવેલું ક્ષેત્રપાળ હનુમાનજીનું પ્રાચીન મંદિર છેલ્લા ચારસો પચાસ વર્ષથી ભક્તિ, પરંપરા અને દૈવી શક્તિનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. અનેક પેઢીઓથી ભક્તો અહીં માત્ર દર્શન માટે નહીં, પરંતુ અંતરાત્માની શાંતિ મેળવવા, આધ્યાત્મિક અનુભૂતિ કરવા અને દૈવી રક્ષણનો આશીર્વાદ મેળવવા આવે છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ સકારાત્મક ઊર્જા, શાંતિ અને શક્તિથી ભરેલું આધ્યાત્મિક વાતાવરણ અનુભવાય છે, જે દરેક ભાવિકના હૃદયને સ્પર્શી જાય છે. આ મંદિરની વિશેષતા છે ત્રિદેવરૂપે ક્ષેત્રપાળ હનુમાનજી, કાળભૈરવજી અને બટુક ભૈરવજીની અવિરત ઉપસ્થિતિ. આ ત્રિવિધી શક્તિ ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ આપે છે. વર્ષ દરમિયાન મંદિરમાં અનેક હવન, યજ્ઞ અને વૈદિકવિધિઓનું નિયમિત આયોજન કરવામાં આવે છે. દુર્ગા અષ્ટમીનો ચંડી હવન, અષ્ટમીનો ભૈરવ યજ્ઞોપવિત, તેમજ મહાશિવરાત્રી, હનુમાન જયંતિ અને ગુરુ પૂર્ણિમાની પવિત્ર ઉજવણીઓ મંદિરની પરંપરા અને પવિત્રતાને વધુ મજબૂત બનાવે છે. આ તમામ વિધિઓ ભક્તોને દૈવી આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે ક્ષેત્રપાળ હનુમાનજી મંદિર માત્ર એક પૂજા સ્થાન નથી, પરંતુ શ્રદ્ધા, શક્તિ અને રક્ષણનું સદા પ્રજ્વલિત થતું દિવ્ય દીપક છે. મંદિરના ભુગર્ભમાં ક્ષેત્રપાળ ભૈરવમંદિરની ભૂગર્ભ સ્થાને સ્થાપિત પ્રાચીન ક્ષેત્રપાળ ભૈરવજીની પ્રતિમા અહીંનું સૌથી ચમત્કારિક અને ઐતિહાસિક આકર્ષણ છે. આ પ્રતિમા વર્ષમાં માત્ર બે જ પ્રસંગે બહાર પ્રગટ કરવામાં આવે છે. ગુજરાતી નવા વર્ષની શરૂઆત એટલે કે સુદ એકમના દિવસે અને માર્ગશીર્ષ કૃષ્ણ અષ્ટમીના પાથ ઉત્સવ દરમિયાન. આ ક્ષણો ભક્તો માટે અત્યંત અલૌકિક બની રહે છે. ઉત્સવમાં લાખો ભક્તો જોડાશે
યાત્રિઓ આપે ધ્યાન:બાંદ્રા ટર્મિનસથી અજમેર, નિઝામુદ્દીન માટે બે સ્પેશિયલ ટ્રેન
અજમેર ઉર્સ દરમિયાન બે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન ચલાવાશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે સ્પેશિયલ ટ્રેનના ફક્ત બે-બે ફેરા જ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09063 ની બુકિંગ શુક્રવારથી શરૂ થશે. ટ્રેન નંબર 04005/04006 બાંદ્રા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ સ્પેશિયલના બે ફેરા ચાલશે. ટ્રેન નંબર 04005 બાંદ્રા ટર્મિનસથી 12 ડિસેમ્બરે બપોરે 14:40 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 11:10 વાગ્યે હઝરત નિઝામુદ્દીન પહોંચશે. ટ્રેન નંબર 04006 ગુરુવારે બપોરે 13:35 વાગ્યે હઝરત નિઝામુદ્દીનથી રવાના થશે. આ ટ્રેન શુક્રવારે સવારે 11 વાગ્યે બાંદ્રા પહોંચશે.
કરદાતાઓ આપે ધ્યાન:10 હજારથી વધુનો એડવાન્સ આવકવેરો ભરવા ત્રીજો હપ્તો, 15મી છેલ્લી તારીખ
આવકવેરા એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે અને સમગ્ર વર્ષ દરમિયાન થનાર કમાણીનું આંકલન લગાવીને કરદાતાઓ વર્ષમાં 4 હપ્તામાં તેની એડવાન્સમાં ચૂકવણી કરતા હોય છે. આ વખતે ત્રીજા હપ્તા સાથે અનેકનો 75 ટકા ટેક્સ ભરાઈ જશે. હાલ એઆઇ અને 370 ડિગ્રી સોફ્ટવેરની મદદથી વિભાગને જાણ થતી હોય છે કે કોણે વધુ ટેક્સ ભર્યો છે અને કોણે ગત વર્ષની સરખામણીમાં ઓછો કે વધુ ટેક્સ ભર્યો છે. સી.એ. મિહિર ઠક્કર કહે છે કે અગાઉ એડવાન્સ ટેક્સ અગાઉ કરદાતાઓને રિમાઇન્ડર કે નોટિસ પણ મોકલાતી હતી, ઉપરાંત વિભાગ પણ સેમિનાર કે મીટિંગ યોજતો હતો, પરંતુ હવે સિસ્ટમમાં આવેલા સુધારાના લીધે એડવાન્સ ટેકસની સિસ્ટમ વધુ સુધરી છે. ભાસ્કર એક્સપર્ટન ભરો તો વ્યાજનું ભારણજેમનું ભારણ 10 હજારથી વધુ હોય, આવક સતત બદલાતી હોય તેમણે જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને માર્ચમાં એડવાન્સ ટેક્સ ભરવાનો થાય છે. આ ટેક્સ ન ભરવા પર વ્યાજનું ભારણ વધે છે. > નિતેશ અગ્રવાલ,સી.એ. 8 હજાર કરોડ સુધીનો ટેક્સસુરત-વડોદરા રેન્જનો અંદાજે 8-10 હજાર કરોડનો ટાર્ગેટ એડવાન્સ ટેક્સ મારફત જ એચિવ થાય છે. સુરતનો રેવન્યુ ટાર્ગેટ સતત વધે છે અને 10 હજાર કરોડથી વધીને 20 હજાર કરોડ સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત ટીડીએસની એવરેજ પણ સતત વધતી રહી છે.
ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા:શહેરા તાલુકાના ખાતર કેન્દ્રો પર બાયોમેટ્રિકને લઇને ખેડૂતોની લાગતી લાઇનો
શહેરા તાલુકામાં રવિ પાકની વાવણી બાદ ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમાં વહેલી સવારે ખાતર વિતરણ કેન્દ્રોમાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી. સવારથી જ ખેડુતો લાઈનમાં ઊભા રહી જરૂરી યુરિયા, ડીએપી અને અન્ય ખાતરો મેળવવા કેન્દ્રો સુધી પહોંચતા હોય છે. પોતાનો વારો જોતાં જોવા મળ્યા હતા. જ્યારે ખાતર વિતરણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાતરની કોઈ અછત નથી. સ્ટોક પૂરતો ઉપલબ્ધ છે તથા સતત પુરવઠો પણ ચાલુ છે. તેમ છતાં ખેડૂતોની લાંબી લાઈનોનું મુખ્ય કારણ બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ ચકાસણીની ફરજિયાત પ્રક્રિયા છે. જેમાં સરકારની માર્ગદર્શિકા મુજબ સબસિડીયુક્ત ભાવ પર ખાતર આપવા પૂર્વે દરેક ખેડૂતની ઓળખ ફિંગર પ્રિન્ટ દ્વારા તપાસવી પડે છે. આ પ્રક્રિયા માટે એક વ્યક્તિને થોડો વધારે સમય લાગે છે. એકસાથે મોટા પ્રમાણમાં ખેડૂતો આવી પહોંચતા લાઈનો લાંબી બનતી જાય છે.
શુદ્ધ પાણીનો ઉપયોગ વધારવા માટે પ્રયાસ:ઉગત ગાર્ડનના પ્લાન્ટનું 3.63 કરોડના ખર્ચે મેઇન્ટેનન્સ સોંપાશે
ઉગત ના સ્નેહરશ્મિ બોટેનિકલ ગાર્ડનમાં 2023માં શરૂ કરાયેલા 150 કેએલડી ક્ષમતાવાળા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિયમિત સંચાલન અને જાળવણી માટે સ્થાયી સમિતિએ કોન્ટ્રાક્ટ સોંપવાનો નિર્ણય લીધો છે. આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ(WWT)માં ‘હાઇબ્રિડ ગ્રેન્યુલર સિક્વન્સિગ બેચ રિએક્ટર ટેક્નોલોજી’(hgSBR)નો ઉપયોગ કરીને ભેંસાણ એસ.ટી.પી.માંથી આવતાં ગંદા પાણીને વધુ શુદ્ધ બનાવવામાં આવે છે, જે પર્યાવરણને અનુકૂળ બનાવવામાં મદદરૂપ થાય છે. મહાપાલિકાએ આ પ્લાન્ટના આગામી 5 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કર્યું છે. આ કામગીરી માટે 3.63 કરોડનો ખર્ચ થશે. પ્લાન્ટમાંથી શુદ્ધ થયેલું પાણી નજીકના તળાવમાં પહોંચાડવામાં આવશે, જેનાથી શહેરમાં રિસાયકલ પાણીનો ઉપયોગ વધશે અને પાણીની અછતને ઘટાડવામાં મદદ મળશે, હાલમાં પાલ-પાલનપુર લેક ગાર્ડન અને ડભોલી લેક ગાર્ડનમાં 1–1 MLD ક્ષમતાવાળા પ્લાન્ટ કાર્યરત છે. તેમ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું.
વેધર રિપોર્ટ:15.8 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી, આજે 14 ડિગ્રી થઈ શકે
શહેરમાં ડિસેમ્બર મહિનાની સાથે શિયાળો જામી રહ્યો છે. બુધવારે રાત્રે સિઝનમાં પહેલીવાર 15.8 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. રાત્રિનું તાપમાન 16 ડિગ્રીની નીચે જતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. એક જ રાતમાં લઘુતમ તાપમાનમાં 3.8 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. હિમાચલ રિજિયનમાં બરફવર્ષા શરૂ થતાં રાજ્યભરમાં ઉત્તરના પવન સક્રિય થઈ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જેની અસરરૂપે શહેરમાં પણ ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસમાં ઠંડીનો પારો હજુ 2 ડિગ્રી સુધી ગગડી શકે એવી શક્યતા છે, જેમાં રાત્રિનું તાપમાન સંભવતઃ 14 ડિગ્રી સુધી ગગડી જવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી અને લઘુતમ 15.8 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 3.8 ડિગ્રીનો ઘટાડો થયો હતો. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 62 ટકા અને સાંજે 32 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:પંચમહાલની 18 બેંકોના 2.04 લાખ ખાતામાં~49.65 કરોડની રકમનો કોઇ દાવેદાર નથી
પ્રતિક સોની પંચમહાલની વિવિધ બેંકોમાં ખોલાવવામાં આવેલા 2.04 લાખ ખાતાઓમાં રૂા.49.65 કરોડ પર 10 વર્ષ કરતા વધુ સમયથી કોઇએ દાવો ના કરતા બિનવારસી હાલતમાં પડી રહ્યા છે. રૂા.49.65 કરોડની રકમ સાચા વારસદાર કે માલિકને આપવા 12 ડિસેમ્બરે ગોધરાના ફેડરેશન હોલ ખાતે કેમ્પ યોજીને પરત આપશે. જિલ્લામાં નિષ્ક્રિય ખાતાઓમાં પડેલી રકમ વર્ષો પછી બેંકો દ્વારા RBIના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરી દેવાઇ છે. પંચમહાલ જિલ્લામાં વિવિધ બેંકોમાં લાખોની સંખ્યામાં ખાતેદારોના ખાતા આવેલા છે. ત્યારે જિલ્લાની વિવિધ 18 બેંકોની શાખાઓના ખાતામાં છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી નિષ્કિય અવસ્થામાં કરોડો રૂપિયા પડી રહ્યા છે. જિલ્લાની 18 બેંકોના 2.04 લાખ ખાતાઓમાં ખાતેદારોના રૂા.49,65,90,4614 બિનવારસી પડી રહ્યા છે. આ રકમનો 10 વર્ષ કે તેથી વધુ સમયથી કોઇએ દાવો કર્યો નથી. જેના કારણે આ રકમ હવે કાયદેસર રીતે ''વારસ વિહોણી'' સંપત્તિની શ્રેણીમાં મુકાઈ જતાં બેંકો દ્વારા RBIના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. ત્યારે પંચમહાલ લીડ બેંક મેનેજર બીઓબી દ્વારા આ વારસદાર વગરની રકમ મૂળ વારસદારને મળે તે માટે કેમ્પ રાખવામાં આવ્યો છે.12 ડિસેમ્બરના રોજ ગોધરાના ફેડરેશન હોલ ખાતે કેમ્પમાં ખાતાના વારસદારો કે મૂળમાલિક સાચા પુરાવા આપીને રકમ પર પોતાનો હક્ક કરી શકશે. ત્યારે આટલી મોટી રકમ જિલ્લાની બેંકોમાં બિનવારસી પડી રહેતા સાચા વારસને આપવા કેમ્પો કરી રહી છે. કેમ્પમાં પુરાવા આપશે તેના રકમ પરત મળશે નાગરિકોએ 12 ડિસેમ્બરે ગોધરા ફેડરેશન હોલમાં તેમના અને તેમના પરિવારના સભ્યોએ નિષ્કિય બેંક ખાતામાં રકમ મેળવવા આઇડી પ્રુફ, ગાર્ડીયન સર્ટી, ખાતેદારનું ડેથ સર્ટી, વારસદારનું પેઢીનામું વિગેરે પુરાવા લઇને કેમ્પમાં રજૂ કરવાના રહેશે. લીડ બેંક બીઓબી દ્વારા આયોજીત કેમ્પમાં પુરાવા આપવા પડશે. જેથી નિષ્કિય ખાતાની રકમ પરત આપશે. તેમજ સ્વર્ગસ્થ પરિવારના 10 વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય પડેલા ખાતાને ઓળખીને જે તે બેંકની શાખાનો સંપર્ક કરવો જ્યાં આ ખાતું આવેલું છે. ત્યાં ખાતાધારક તરીકે ઓળખનો પુરાવો અને ખાતા સંબંધિત પુરાવા રજૂ કરવા પડે છે. વારસદારોના કિસ્સામાં કાયદેસરના વારસદાર હોવાનો પુરાવો રજૂ કરવો પડશે. - સત્યેન્દ્ર રાવ, ડીએફએસ, પંચમહાલ એકસીસ બેંક - 2193 - 1.03 બેંક ઓફ બરોડા - 93867 - 24.60 બેંક ઓફ ઇન્ડીયા - 9154 - 1.48 સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા - 5046 - 0.96 ગુજરાત ગ્રામીણ બેંક - 42804 - 9.44 એચડીએફસી બેંક - 6643 - 0.24 આઇસીઆઇસી બેંક - 285 - 0.14 ઇન્ડીયન બેંક - 6665 - 1.52 સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા - 25842 - 8.29 યુનિ. બેંક ઓફ ઇન્ડીયા - 5025 - 1.22
રાજ્યમાં બે વર્ષથી આવકની દ્રષ્ટિએ પ્રથમ અને 3700 કરોડનું ટન ઓવર ધરાવતી સુરત APMCએ 200 કરોડના ખર્ચે બનાવેલા રાજ્યના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું શનિવારે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સીઆર.પાટીલ અને ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્દઘાટન કરાશે. અહીં ટ્રકો પહેલા માળે શાકભાજીનો માલ ઠાલવી બારોબાર નીકળી જશે. એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઇએ કહ્યું કે, માર્કેટ યાર્ડ નાનું પડી રહ્યું હોવાથી એલિવેટેડ યાર્ડ બનાવાયું છે. અહીં રોજના 15 હજાર લોકોની અવરજવર રહે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, યૂપી, પંજાબમાંથી પણ શાકભાજી વેચાણ માટે આવે છે તેમજ દિલ્લી, જયપુર, મુંબઈ, અમદાવાદમાં શાકભાજી વેચાણ માટે જાય છે. અનેકવિધ સુવિધાઓઅહીં કુલ 105 દુકાન છે. માર્કેટમાં સીસીટીવી કેમેરા, ગુડસ લિફટ, પેસેન્જર લિફટ, કેન્ટીન, વોશરૂમ, કાર ટુ-વ્હીલર, પાર્કિંગ, ફાયર ફાઈટિંગ, ખેડૂતોને એક જ જગ્યાએથી મળી રહે એવા દવા-બિયારણ ખાતરની દુકાન, ખેડૂતો મજૂરો, હમાલો, વેપારીઓ, ટ્રકડ્રાઈવરો માટે વિનામૂલ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ પણ છે.
ગૌરવ પથ સ્થિત કોરલ પેલેસમાં ગુરુવારે ડીજીવીસીએલની ટીમ સ્માર્ટ મીટર ફિટ કરવા ગઈ હતી. જો કે, લેખિત નોટિસ આપ્યા વિના કોમન મીટરરૂમનાં તાળાં તોડીને ચોરની જેમ સ્માર્ટ મીટર ફિટ કરી ગયા હતા. હાલમાં શહેરભરની સોસાયટીઓમાં સ્માર્ટ મીટર ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે. અગાઉ રાજ્યભરમાં બિલ વધુ આવવા સહિતના વિવાદો પણ થયા હતા, જેથી લોકો નવું મીટર ફિટ કરવા મુદ્દે ખચકાટ અનુભવતા હતા. આ ઘટનામાં કોરલ પેલેસના રહીશોએ કહ્યું હતું કે, ‘સ્વતંત્ર દેશમાં આ સરમુખત્યારશાહી છે. અમે સ્માર્ટ મીટરની વિગતવાર સમજ આપવા માટે સોસાયટીના સભ્યો સાથે મીટિંગ કરવા માટે વિનંતી કરી હતી. જો કે, અધિકારીએ એવું કહ્યું હતું કે, મીટિંગ કરીને માહિતી આપવી એ અમારી ફરજમાં નથી આવતું. ત્યાર બાદ ગુરુવારે એચાનક ટીમે ધસી આવીને તાળાં તોડી મીટર લગાવી દીધાં હતાં. ’
કાર્યવાહી:સાંતલપુરનો 15 વર્ષથી ફરાર આરોપી પકડાયો
ગોધરા પેરોલ ફર્લો સ્ક્વોર્ડને બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ મથકમાં 2010માં ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં મલવાણનો ભૂપત બુધાભાઈ નાયક સંડોવાયેલો છે. જે પોલીસ થી છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો છે અને જે હાલ તેના ઘરે હાજર છે. જે બાતમી મળતા ગોધરા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યાએ જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભાસ્કર એક્સક્લુસિવ:ફાયરના જવાનોની આ યાતના ક્યારે સમજાશે?
ગોડાદરાની રાજ ટેક્સ્ટાઇલ માર્કેટની આગમાં 5 ફાયર કર્મીને જાણે મોતનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પટેલ ફાયર શુટ સાથે પાણી છાંટતા હતા ત્યારે ધગધગતા રગડા પર પગ પડતાં લપસી પડ્યા હતા. જેમાં બંને પગ, જાંઘ સહિતના ભાગે ચામડી સળગી ગઇ હતી. જેથી સ્મીમેરમાં દાખલ કરાયા હતા. તેઓ વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર સહારો છે તેમજ એક દીકરીના પિતા છે. સબ ફાયર ઓફિસર રોહિત ખલાસીને ઝેરી ધુમાડાથી દેખાતું બંધ થઈ જતાં સ્મીમેરમાં ખસેડાયા હતા જ્યાં એક કલાક બાદ સ્થિતિ સુધરતાં તેઓ ફરી ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત માર્શલ મહેશ ચાવડા અને યોગરાજ પાટિલને ઝેરી ધુમાડાની ફેફસાં સુધી અસર થતાં બેભાન થઇ ગયા હતા, જ્યારે શાંતારામ નીકમ પણ કેમિકલ યુક્ત ધુમાડાની અસર બાદ ચક્કર ખાઇને ઢળી પડ્યા હતા. આગ ઓલવાયા પછી આ સ્થિતિ હતી. આ ઘટનામાં પોલિએસ્ટરનું જથ્થાબંધ કાપડ સળગતાં અંદરનું તાપમાન 500 ડિગ્રીએ પહેંચી ગયું હતું. પીગળતું કાપડ લાવા જેવું ભાસતું હતું. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, ઇલેક્ટ્રિક ઈન્સ્પેક્ટર અને ફાયર સેફ્ટી રિ-ઈન્સ્ટોલેશન સર્ટિફિકેટ રજૂ કર્યા પછી જ દુકાનો ખોલી શકાશે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યા બાદ મળસ્કે 2:30 વાગ્યા સુધી પાણીનો મારો ચલાવી કૂલિંગ કરાયું હતું. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ, ઈલેક્ટ્રિક ઈન્સપેક્ટર દ્વારા સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી ડેમેજ થઈ છે તેને ફરીથી ઈન્સ્ટોલ કર્યા બાદ ફાયરની એનઓસી મેળવ્યા પછી જ માર્કેટની આ બિલ્ડિંગમાં દુકાનો ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે એવું પાલિકાનું કહેવું છે. નીટિંગ ફેબ્રિકના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડીદુકાનોમાં નીટિંગ કાપડનો મોટો જથ્થો હતો. પોલિએસ્ટર કાપડ આગમાં પેટ્રોલની જેમ સળગે છે અને કાબૂ મેળવતા ભારે મુશ્કેલી થાય છે. 7મા માળે 500 ડિગ્રી તાપમાન વચ્ચે 14 દુકાનોનાં માળિયાં તૂટી પડ્યાં હતાં તથા દીવાલો ફાટી ગઈ હતી. કાપડનો રગડો લાવાની જેમ પડતો હતો. 14 દુકાનો ભેગી કરીને પેસેજ પર લોખંડની એંગલથી માળિયાં બનાવી પેક કરી દેવાયું હતું. ઉપરાંત બારીમાં પણ માલ ભરી દેવાતાં બહારથી પાણીનો મારો ચલાવાય તો અંદર જઈ શકે તેમ ન હતું.
ભાસ્કર એનાલિસીસ:દાહોદ શહેરની મતદાર યાદીમાંથી 30,655 અયોગ્ય નામો દૂર કરાશે
ઇરફાન મલેક દાહોદ શહેર અને પરેલ વિસ્તારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. આ સઘન ઝુંબેશના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે અને મતદાર યાદીમાં રહેલી ગંભીર ક્ષતિઓ દર્શાવે છે. SIR કામગીરીના પરિણામે દાહોદ શહેરી અને પરેલ વિસ્તારમાંથી કુલ 30655 એવા નામોની ઓળખ થઈ છે. જેઓ ડુપ્લિકેટ, મૃત, કાયમી સ્થળાંતરિત અથવા ગેરહાજર શ્રેણીમાં આવે છે. આ તમામ નામોને હવે મતદાર યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ આંકડાઓ પૈકી 13004 મતદારો કાયમી સ્થળાંતરિત સામે આવ્યા છે. જે દર્શાવે છે કે આટલી મોટી સંખ્યામાં મતદારો હવે દાહોદ શહેરમાં રહેતા નથી. આ સૌથી મોટો આંકડો છે અને ચૂંટણીના પરિણામો પર સીધી અસર કરી શકે છે. તેવી જ રીતે12168 મતદારો ‘ગેરહાજર' હોવા છતાં યાદીમાં હતા. આ આંકડો સૂચવે છે કે ભૂતકાળમાં આ નામોનો ઉપયોગ કરીને બોગસ મતદાન થવાની ગંભીર શક્યતા હતી. વળી 4181 મૃત વ્યક્તિના નામ પણ યાદીમાં ચાલુ હતા. આ ઉપરાંત 1300થી વધુ ડુપ્લિકેટ નામો પણ ઓળખાયા છે. 30655 નામો દાહોદ શહેર માંથી જ ઓળખાયા છે. જે શહેરની મતદાર યાદીની શુદ્ધતા સામે મોટો પડકાર હતો. 30665 નામો દૂર થવાથી નોંધપાત્ર સુધારો થશે અને આવનારી ચૂંટણીઓમાં બોગસ મતદાનની શક્યતા નહિવત્ થઈ જશે. પરેલ વિસ્તારની સ્થિતિકાયમી સ્થળાંતરિત-3077, ગેરહાજર-82, ડુપ્લિકેટ-113, મૃત-339 દાહોદ શહેરની સ્થિતિ કાયમી સ્થળાંતર-9927, ગેરહાજર-12,086, ડુપ્લિકેટ-1,189, મૃત-3842
સજા:ગોધરા કોર્ટે પોક્સો આરોપીને20 વર્ષની સજા ફટકારી
ગોધરાના સાંપા ગામનો પ્રકાશઉર્ફે લાલુ મોહનભાઈ પટેલસગીરાની આગળ-પાછળકોઈપણ રીતે આંટા ફેરા કરીતેણીને સમજાવી, પટાવી,ફોસલાવીને તેની સાથે દૃષ્કૃત્યકરવાના આશયથી અને પત્નીતરીકે રાખવાના ઈરાદેફરીયાદીના વાલીપણામાંથીભગાડી લઈને ગુનો કર્યોહતો.આ અંગે ગોધરા તાલુકાપોલીસ સ્ટેશનમાં ફરીયાદનોંધાઇ હતી. પોલીસે ગુનોનોંધીને પ્રકાશ પટેલની ધરપકડકરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીહતી. જે બાબતે પંચમહાલજિલ્લાના સ્પે.જજ તથા ચોથાએડી.સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં કેસ અંગેનીસુનાવણી ચાલી જતાં રેકર્ડ ઉપરજે પુરાવો તથા મદદનીશસરકારી વકીલ એમ.કે.દેશમુખેફરીયાદી,ભોગ બનનારની,પંચોની, ડો.ની તથા અન્યસાહેદોની તથા તપાસ કરનારઅમલદારની જુબાનીના આધારેવિગતવારની દલીલોના આધારેકોર્ટે આરોપી પ્રકાશ મોહનભાઈપટેલને પોકસો એકટના ગુન્હામાં20 વર્ષની સખત કેદની સજાઅને રૂા.30,000નો દંડનો હુકમકર્યો હતો.
આગ લાગી:માળિયા તાલુકાના જાજાસરની સીમમાં પવનચક્કીમાં આગ, જાનહાનિ ટળી
માળિયાના જાજાસર ગામની હદમાં આવેલા ખાનગી કંપનીની પવનચક્કીના પેનલ બોર્ડમાં રાત્રીના આગ લાગી હતી. આગે મોટું સ્વરૂપ ધારણ કરતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જાજાસર ગામની હદમાં સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીની પવન ચક્કીમાં રાત્રીના સમયે આગની જ્વાળા દેખાઈ હતી, જે બાદ ગ્રામજનો દ્વારા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પેનલ બોર્ડમાં આગની શરૂઆત થઇ હતી
સિરામીક હબ તરીકે જાણીતા મોરબીમાં એક દાયકાથી રોકેટ ગતિએ વાહનોનો વધારો થતાં માર્ગો સાવ ટૂંકા પડી ગયા છે. અધૂરામાં પૂરું માર્ગો મગરની પીઠથી પણ બદતર હોય ટ્રાફિક કચબા ગતિએ ચાલતો હોવાથી આમાં સંઘ ક્યાંથી દ્વારકા પહોંચે' તેવી કપરી સ્થિતિ સામે આવી છે. એટલે પહેલેથી જ ટ્રાફિકની સમસ્યાનો ગંભીર પ્રશ્ન છે. તેમાંય હમણાં 10-15 દિવસથી તો શહેર આસપાસના માર્ગો પર ટ્રાફિકની એવી અંધાધૂંધી થાય છે કે લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે. જેમાં મોરબીના બાયપાસ વાવડી ચોકડી, શનાળા ચોકડી , દલવાડી સર્કલ, ઘુંટુ રોડ, પરાબજાર થઈ નહેરુ ગેઇટ ચોકથી શાક માર્કેટ, ત્યાંથી ગાંધીચોક સુધી, સામાકાંઠે નટરાજ ફાટક સહિત ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો કાયમી બની ગયા છે. તેમાંય નટરાજ ફાટકે તો હદ બહારનો ટ્રાફિકજામ થાય છે. નટરાજ ફાટક દિવસમાં 15 વખત ટ્રેનોની અવરજવરને કારણે ઉઘાડ બંધ થાય છે, આટલું ઓછું હોય તો ત્યાં ઓવરબ્રિજની કામગીરી ચાલે છે, તેથી ટ્રાફિકની એવી માયાજાળ રચાઈ છે કે, જે નટરાજ ફાટકે નીકળતા વધીને કદાચ એક મિનિટ જેવો સમય લાગે પણ આ ટ્રાફિકમાંથી ક્યારે બહાર નીકળાશે એ નક્કી જ નથી હોતું. એટલે ટ્રાફિકજામથી લોકો બેહાલ છે. છતાં તંત્ર મુકપ્રેક્ષક છે. જે પ્રજાની કમનસીબી છે. જલદી પસાર થવાની લ્હાયમાં વાહનો હંકારી ટ્રાફિક અવ્યવસ્થા નોતરે, સિગ્નલ, પોલીસની ગેરહાજરીથી સ્થિતિ વકરે. ટ્રાફિક સિગ્નલ, સંકલન, સેન્સનો અભાવટ્રાફિકનો આજકાલનો પ્રશ્ન નથી. જો કે 1994-95 આસપાસ ટ્રાફિક સિગ્ન મુકાયા હતા. તે બતાવે છે કે ત્યારે કેટલી એની જરૂરત હતી. તેના કરતા ટ્રાફિક સિગ્નલની અત્યારે વધુ જરૂર છે. જો કે નગરપાલિકા વખતથી આ માટે ઠરાવો મંજૂર પણ થઈ ગયા છે. પણ એનો અમલ થયો નથી. આ ટ્રાફિક સિગ્નલની સાથે મનપા અને ટ્રાફિક પોલીસ વચ્ચે સંકલનનો અભાવ છે. તેમજ પોલીસ એમ પણ કહે છે કે, લોકોમાં ટ્રાફિક સેન્સ જ નથી. એમા કોનો વાંક ? માત્ર દંડ ઉઘરાવવાથી કામગીરી પુરી થઈ જતી નથી.
ભ્રષ્ટાચારનો આક્ષેપ:ભ્રષ્ટાચારના આક્ષેપથી બચવા સરપંચે માથે તગારું મૂકી ગાંડાનું નાટક રચ્યું
વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ વસાવા તેમજ ડે. સરપચ મિતેશ જાદવ સામે ભ્રષ્ટાચારના આરોપ સાથે ગ્રામ પંચાયતના સભ્યએ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી હતી. અરજીમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ વિકાસના કામો કોન્ટ્રાક્ટરને કરવા બાબતે તેના બદલમા કામો પેટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સમાં બંને સરપંચોએ ટકાવારી પેટે રૂપિયા લીધા હોવાના આરોપ સાથે પંચાયતના સભ્યએ ટીડીઓને અરજી આપી હતી. આ ભ્રષ્ટાચારના આરોપના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી તપાસ અર્થે રસુલાબાદ આવવાના હોય એવી જાણ થતા સરપંચે પોતાના જ મિત્રોને ફોન ઉપર જણાવ્યું કે. સરપંચ ગાંડો થઈ ગયો છે. જેથી જવાબ નહીં આપે એમ કમલેશ વસાવા પોતાના જ મિત્રો સાથે ફોન પર વાતચીત કરી હતી. જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જેથી કમલેશ વસાવા એ પોતાના ભ્રષ્ટાચાર ના આરોપને છુપાવવા માટે પોતે ગામના જાહેર રોડ પર ગાંડો થયો છે એવો રોલ કર્યો હતો. ભ્રષ્ટાચારની આરોપથી બચવા કમલેશ વસાવાએ પોતે ગાંડો હોવાનું નાટક રચ્યું હતું. આ ઓડિયો તેમજ વિડીયો વાયરલ થતાં તેમજ ભ્રષ્ટાચારની આરોપની અરજી ને ધ્યાનમાં લઇ તાલુકા વિકાસ રસુલાલ બાદ ગામ ખાતે પહોંચી તપાસ શરૂ કરી માથે ટોપલો મુકી સરપંચ ગામમાં નીકળી પડ્તા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાતું હતું કે સરપંચ કેમ આ પ્રકારની હરકત કરે છે. ભ્રષ્ટાચારની તપાસમાં પહોંચેલા તાલુકા વિકાસ અધિકારીએ તલાટીને સાથે રાખી તપાસ હાથ ધરી છે ભ્રષ્ટાચારની વિરુદ્ધ અરજી આવી છે, તપાસ ચાલુ છે રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉ. સરપંચ ના વિરોધમાં ભષ્ટ્રાચાર વિરુધ્ધમાં અરજી આવી હતી જે અરજીના અનુસાધનમાં તાલુકા પંચાયતના અધિકારી દ્વારા તપાસ ની કાર્યવાહી કરવામાં આવી છે જે તપાસમાં નીકળશે તે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. > ડી. જી. પટેલ તાલુકા વિકાસ અધિકારી,વાઘોડીયા
માધાપર જમીન વિવાદમાં પ્રાંતનો નિર્ણાયક હુકમ:28 વર્ષ જૂના વેચાણ દસ્તાવેજની નોંધ પરની અપીલ નામંજૂર
ભુજ તાલુકાના માધાપર ગામની રે.સ.નં. 100/1, ક્ષેત્રફળ 4-૦૦ ગુંઠાની ખેતીની જમીનના એક જૂના વેચાણ વ્યવહાર પર દાખલ થયેલી અપીલને નાયબ કલેકટરશ્રી ભુજે નામંજૂર કરતો હુકમ ફરમાવીને કાયદાની મહત્તા પ્રસ્થાપિત કરી છે. આ કિસ્સામાં, મૂળ વેચાણ દસ્તાવેજ તા. 19-6-1996નો હતો, જે ઠક્કર વિસનજી પ્રધાનને અઘાટ વેચાણથી નખત્રાણાના ભારાપરઅ રહેતા મનોજદાન મહીદાન ગઢવીના પિતાએ તેમની હયાતીમાં કરી આપેલ હતો. આ દસ્તાવેજની નોંધ 1987માં રેવન્યુ દફતરે પ્રમાણિત થઈ હતી. વેચાણ કરનારના પુત્ર દ્વારા આ મૂળ નોંધને 28 વર્ષના લાંબા સમય બાદ અપીલમાં પડકારવામાં આવી હતી. આ દરમિયાન જમીનના ઉત્તરોત્તર વેચાણ વ્યવહારો અને એકત્રીકરણની નોંધો થઈ છેલ્લે વિશાલ નરોતમ રામાણીના નામે નોંધ પ્રમાણિત થયેલી હતી. છેલ્લા માલિક વિશાલ નરોત્તમ રામાણી તરફે એડવોકેટ મહેન્દ્ર દયારામ ઠક્કર તથા ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કરએ લેખિત જવાબ રજૂ કરીને દલીલ કરી હતી કે, નોંધ દસ્તાવેજ આધારિત છે અને પાવરનામાથી વેચાણ થયેલ છે. વેચાણ દસ્તાવેજ રદ કરવાની સત્તા રેવન્યુ કાયદા તળેની ઓથોરિટીને પહોંચતી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, 28 વર્ષ બાદ દાખલ થયેલી આ અપીલના કોઈ વ્યાજબી કારણો નથી. નાયબ કલેકટર ભુજે સામાવાળાની તમામ તકરારોને ગ્રાહ્ય રાખી અપીલ નામંજૂર કરતો હુકમ કર્યો હતો. સામાવાળાના એડવોકેટ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, ફુલીન જેન્તીલાલ ભગત, ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કર તથા કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર હાજર રહેલ હતા.
મનપાએ ઓફલાઇન અરજીઓ લેવાનું બંધ કર્યું:મોરબીમાં બીયુ કે પીઓઆર માટે ઈ નગર એપમાં અરજી કરવી પડશે
મોરબી નગરપાલિકામાં ઝુલતા પુલ દુર્ઘટના બાદ કાયમી ચીફ ઓફિસર ન હોવાથી બાંધકામ પરવાનગી મળતી ન હતી જોકે મહાનગરપાલિકા બન્યા બાદ રાજ્ય સરકારની સુચના બાદ મહાનગર પાલિકા દ્વારા ઓફ લાઈન અરજી સ્વીકારી બીયુ સર્ટીફીકેટ અને ઝોનિંગ સર્ટિફિકેટ, પાર્ટ પ્લાન, POR (પર્શન ઓન રેકર્ડ) રજિસ્ટ્રેશન અપાતું હતું જોકે હવેથી હવે ઇ નગર પોર્ટલ સંપુર્ણપણે કાર્યરત થતા નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળતાથી સેવાઓ પૂરી પાડવાના આશયથી રાજ્ય સરકારના ઇ નગર ઓનલાઈન પ્લેટફોર્મ પર જ વિકાસ પરવાનગી સંબધિત અન્ય પરવાનગીઓ જેવી કે બિલ્ડીંગ યુઝ પરમિશન (BU), ઝોનિંગ સર્ટિફિકેટ, પાર્ટ પ્લાન, POR (પર્સન ઓન રેકર્ડ) રજિસ્ટ્રેશન, જેવી બાબતોની અરજી ફક્ત ઓનલાઇન જ કરવાની રહેશે. મોરબી મહાપાલિકા દ્વારા ઈ નગર પોર્ટલ પર અરજી લેવાથી લોકોને અરજી માટે મનપા કચેરી સુધી ધક્કો નહી થાય અને સમયની બચત થશે અને ઓનલાઈન પ્રકિયા હોય જેનો નિકાલ સમય મર્યાદામાં કરવાનો હોવાથી અરજીની કાર્યવાહીમાં ઝડપ થશે.
આધેડનું મોત:આરઈ પાર્કમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા આધેડનું મોત
ખાવડા નજીક આરઈ પાર્કમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા ભુજના આધેડનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ ભુજના ભાનુશાલી નગરમાં રહેતા 51 વર્ષીય જયેશભાઈ મનસુખલાલ ઝાલાનું મોત નીપજ્યું હતું. બનાવ 10 ડીસેમ્બરના દસ વાગ્યાની આસપાસ બન્યો હતો.હતભાગી ટ્રેક્ટરની ટ્રોલીમાં હતા ત્યારે પલટી મારી જતા ગંભીર ઈજાઓ પહોચી હતી.જેમને સારવાર માટે જી.કે.જનરલ ખાતે લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.સમગ્ર મામલે પોલીસે ઘટના સંબંધિત ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.
ફરાર આરોપી પકડાયો:મોરબીમાં 10 વર્ષથી ચોરીનો ફરાર આરોપી અંતે મધ્યપ્રદેશથી ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2015માં નોંધાયેલા ત્રણ અલગ-અલગ ઘરફોડ ચોરીના ગુનાઓમાં એક આરોપી 10 વર્ષના લાંબા સમય ગાળાથી પોલીસની પકડથી દૂર રહ્યો હતો. પણ આખરે મોરબી ક્રાઈમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડને 10 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આ આરોપીને મધ્યપ્રદેશથી પકડીને તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2015માં નોંધાયેલા ત્રણ અલગ-અલગ ઘરફોડ ચોરીના ગુનાઓમાં આરોપી જફરૂદીન કમરૂદીન મેવ છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો. આથી મોરબી ક્રાઈમ બ્રાન્ચે આરોપીનું પગેરું મેળવતા જાણવા મળ્યું હતું કે તે હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના સિહોર જિલ્લાના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇશારપુર ખાતે રાજેશ ચૌહાણની વાડીએ છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ત્યાં તપાસ કરતા આરોપી સ્થળ પરથી મળી આવ્યો હતો.
ઘાયલ યુવાનની સારવાર:અકસ્માતમાં ઘાયલ યુવાનને પોલીસે સારવાર માટે ખસેડયો
જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ ભુજમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે રિલાયન્સ સર્કલથી જિલ્લા ઉદ્યોગ સર્કલ જતા રોડ પર GJ 12 DQ 5572 સુઝુકી એક્સેસના ચાલક ભુજોડીના મગન ધનજીભાઈ મંગરીયાનું વાહન સ્લીપ થઈ પડી જતા તેને ઈજા થઈ હતી તાત્કાલિક એએસઆઈ ભૂપતસિંહ ઝાલા, અરવિંદભાઈ પરડવા તથા પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ ચૌહાણએ ઘાયલ યુવકને તાત્કાલિક રીક્ષામાં બેસાડી જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી તેના ભાઈને બનાવની જાણ કરી હતી.
સત્કાર્યોને સમર્પિત જન્મદિવસ:સમાજ સેવાને જ જીવનનું ધ્યેય બનાવ્યું, 76મો જન્મદિવસ સત્કાર્યોને સમર્પિત
મારા જીવનનું ધ્યેય જ સમાજની શક્ય સેવા છે અને એ વિના મારો દિવસ આથમતો નથી. તો મારો જન્મદિવસ આવા સત્કાર્યથી વંચિત કઇ રીતે રહી શકે? આ શબ્દો છે વાંકાનેરના મુળજીભાઇના કે જેમણે પોતાનો 76મો જન્મદિવસ જનસેવા કેન્દ્રમાં હાજર રહી, લોકોના કાર્યો કરીને યાદગાર બનાવ્યો હતો. વાંકાનેરના મૂળજીભાઇએ 40 વર્ષથી આ સેવાકાર્ય અપનાવ્યું છે.તેમણે તાજેતરમાં જ 76મા વર્ષમાં પ્રવેશ કર્યો અને એ દિવસે પણ તેમણે લોકસેવા યજ્ઞ ચાલુ રાખી જન્મ દિવસની ઉજવણી કરી હતી. તેમનો જન્મદિવસ સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના કાર્યાલય ખાતે આવેલ સેવા કેન્દ્રમાં કામ કરતા કરતાં ઉજવ્યો હતો. સમાજમાં સામાજિક જાગૃતિ માટે સરકારી કચેરીઓ મારફત અવારનવાર પછાત વિસ્તારમાં માર્ગદર્શન શિબિરોનું આયોજન કરે છે, જેમાં નશાબંધી, આરોગ્ય કેમ્પ, સમાજ કલ્યાણ ખાતા તરફથી યોજનાની માહિતી માટે શિબિર રાખવામાં આવે છે. મૂળજીબાપાની નિત્ય સેવા1. હજારો કુટુંબોના લાભાર્થીઓને વિનામૂલ્ય ફોર્મ ભરી લાભ અપાવવાની સેવા કરે છે. 2. સેવા કેન્દ્રમાં બેસીને વિવિધ યોજનાના ફોર્મભરી ફોર્મ ભરી આપે. 3. કચેરીઓમાં ફોર્મ ભરવા, જમા કરાવી દેવાનું કામ કરી આપે 4. તાલુકાનાં હજારો અશિક્ષિત તેમજ સરકારી કચેરીના અજાણ્યા લોકો માટે મુળજીભાઈ જાણે એન્સાઇક્લોપિડિયા. 5. જરૂરિયાતમંદ લોકો સુધી લાભ ન પહોંચે ત્યાં સુધી કામ હાથ પરથી ન મૂકે.
મોરબીમાં ''શ્રમદાન ફોર મોરબી'' અંતર્ગત નવલખી રોડ પર રેલવે ફાટકથી લઈને હાઇવે સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રોડની બંને બાજુની સફાઈ કરવામાં આવી હતી અને યંગ ઇન્ડિયા ગ્રુપ, આ વિસ્તારના નાગરિકો અને બાળકો સહિત 100થી વધુ લોકોએ સફાઈ કરી હતી. જેમાં અંદાજિત 30 ટન જેટલા કચરાનો નિકાલ કર્યાનો કમિશનરે દાવા કર્યો હતો અને કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું હતું કે, રોડ ઉપર જામેલી ધૂળને દૂર કરવા સફાઈ કર્મીઓને બ્રશ અને સૂપડા આપ્યા હોય તેથી તેઓ ડસ્ટને સાફ કરીને હેન્ડકાર્ટ દ્વારા સીધો ટ્રેક્ટરમાં નિકાલ કરી શકે. ''શ્રમદાન ફોર મોરબી'' કાર્યક્રમ હવે દર બે અઠવાડિયે યોજાશે અને શ્રમદાન મોરબી હેઠળ હવે મોરબી સ્વચ્છ અને સુઘડ બનશે તેવું તેમણે જણાવ્યું હતું. 100 ડસ્ટબિન્સ મુક્યાના દાવા છતાં આ સ્થિતિ?!કમિશનરે એવો દાવો કર્યો હતો કે, 100 ડસ્ટબિન્સ ખરીદી કરીને વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવી છે. લાલબાગની દીવાલ નજીક ચાલુ કરાયેલા હોકર ઝોન સહિત તમામ હોકર ઝોનમાં પણ ડસ્ટબિન મૂકવામાં આવી છે. પણ હકીકતમાં પરિસ્થિતિ અલગ છે. જેમાં 100 જેટલા વાડી વિસ્તારો, સોઓરડી, માળીયા વનાળિયા, કાલિકાપ્લોટ, લાયન્સનગર, વીસીપરા, રોહિદાસપરા, જેવા અનેક વિસ્તારોમાં ડસ્ટબિન નથી તેમજ સફાઈ કર્મીઓ સફાઈ કરવામાં પણ ઉદાસીનતા દાખવે છે. જ્યારે આઈકોનીક ગણાતા વાવડી રોડ ઉપર કચરા પેટી મૂકી હતી. પણ કચરો છલકાઈ રહ્યો હોય છતાં કોઈ ઉપાડવામાં આવતું નથી. આ રીતે મોરબીમાં સફાઈના અભાવે સ્થિતિ ઘણી જ ગંભીર છે. મનપાએ ગટર સમસ્યા સામે આંખો મીંચી લીધીમોરબીમાં વર્ષોથી ભુર્ગભ ગટરનો સળગતો પ્રશ્ન છે. અગાઉ નગરપાલિકામાં ક્યારેય પણ ગટરની સફાઈ થતી ન હતી. હવે મનપા પણ નગરપાલિકાના નકશે કદમ પર ચાલીને ગટર સમસ્યાને જાણી જોઈને નજરઅંદાજ કરે છે. ત્યારે આજે મોરબીના દાઉદી પ્લોટ-1માં ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર નદીના વહેણની જેમ વહ્યા હતા. જેથી લોકોને ભારે હાલાકી પડી હતી. આવી ઠેરઠેર સમસ્યા હોય શું આ ગટર સમસ્યા શ્રમદાન ફોર મોરબી હેઠળ ન આવે ? તેવા સવાલો સહેજે થઇ રહ્યા છે.
ભાસ્કર ઈનસાઈડ:મોસમમાં પ્રથમવાર નલિયામાં 9 ડિગ્રી સાથે એક આંકમાં તાપમાન નોંધાયું
કચ્છ જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થતો હતો, પરંતુ શિયાળો ધીમે ધીમે જામતા ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ખાસ કરીને અબડાસા તાલુકાના નલિયા વિસ્તારમાં સિઝનમાં પ્રથમવાર સિંગલ ડિજિટમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં રાત અત્યાર સુધીની સૌથી ઠંડી રાત તરીકે નોંધાઈ છે અને આ સિઝનમાં પ્રથમવાર તાપમાન 10 ડિગ્રીથી નીચે ઉતરતા અહીં ઠંડીનો માહોલ ઘેરો બન્યો છે. ઉતર–પૂર્વ દિશાના ઠંડા પવનો નલિયામાં ઠંડી વધારવાના મુખ્ય કારણ બની રહ્યા છે. સવારના સમયમાં હાડ થીજી જાય એવું વાતાવરણ સર્જાતાં લોકો ગરમ કપડાં સાથે ઘર બહાર નીકળતા જોવા મળ્યા હતા. બીજી તરફ કચ્છના અન્ય શહેરોમાં તાપમાન હજી પણ સામાન્ય સ્તરે નોંધાયું છે. ભુજમાં 14.6 ડિગ્રી, કંડલા પોર્ટમાં 14.7 ડિગ્રી, જ્યારે કંડલા એરપોર્ટમાં 11.27 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એટલે કે નલિયાની તુલનામાં ભૂજ અને કંડલામાં ઠંડીનો થાળવો થોડો નરમ રહ્યો છે. હાલમાં કચ્છમાં બેવડી ઋતુનો રસપ્રદ અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ભારે ગરમીને કારણે લોકોને ઉનાળાનો અહેસાસ થાય છે જ્યારે સાંજથી વહેલી સવાર સુધી ઠંડીનું પ્રભુત્વ જોવા મળે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા દિવસોમાં પણ કચ્છના ઉત્તર–પશ્ચિમ વિસ્તારોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ખાસ કરીને અબડાસા અને નલિયા વિસ્તારમાં પવનની દિશા અને ગતિને કારણે તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે. જેથી નલિયાવાસીઓને કાતિલ ઠંડીનો અનુભવ થશે. નલિયાના તાપમાનમાં 23.2 ડીગ્રીનો તફાવતનલિયામાં આ વર્ષે પ્રથમ વાર 9 ડીગ્રી તાપમાન નોંધાયું છે. પણ નલિયામાં દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કેમ કે નલિયામાં રાત્રીનું તાપમાન 9 ડીગ્રી નોંધાયું હતું. પણ દિવસનું તાપમાન 32.2 ડીગ્રી નોંધાયું હતું. એટલે દિવસ અને રાત્રીના તાપમાનમાં 23.2 ડીગ્રીના તાપમાનના તફાવતના કારણે લોકોને દિવસે ભારે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. રાત્રે નલિયાવાસીઓને કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.એ જ રીતે ભુજમાં પણ દિવસ અને રાત્રીના તાપમાન 18.5, કંડલા પોર્ટ વિસ્તારમાં 15.5 ડીગ્રી અને કંડલા એરપોર્ટમાં 18.9 ડીગ્રી તાપમાનનો તફાવત સામે આવ્યું હતું. તાપમાનમાં ફેરફારથી સ્વાસ્થ્ય ગંભીર અસરકચ્છમાં દિવસ દરમ્યાન તાપમાન ઊંચુ રહેતું અને રાત્રે અચાનક ઘટી જતું હોવાથી સામાન્ય જીવનશૈલી ઉપરાંત લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે. હવામાનમાં બદલાવ થવાથી સર્દી–ખાંસી, તાવ, ગળામાં ચેપ અને શ્વાસ સંબંધિત બીમારીઓ ઝડપથી ફેલાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ઓછું રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની રહે છે. તાપમાનનો તફાવત શરીરના તાપમાન નિયંત્રણને પ્રભાવિત કરે છે, જેના કારણે થાક, માથાનો દુખાવો અને હાડકાંમાં દુખાવાની તકલીફો પણ વધી જાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા ત્વચા શુષ્કતા અને ડિહાઇડ્રેશન ની સમસ્યા વધી શકે છે. તેમજ સવારે ઠંડી અને બપોરે ગરમી વચ્ચે શરીર અનુકૂળતા ગુમાવે છે. જો કે તમને આવી કોઈ પણ સમસ્યા થાય તો પ્રથમ તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી.
કરુણ બનાવ:જીપીએસસીની પરીક્ષા દેવા જતી યુવતી પર ટ્રક ફરી ગયો, મોત
માણાવદરમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતો 25 વર્ષીય ચાંદભાઈ ઝાકીર હુસેન સીદીકી તેની બહેન રુકસાનાને જીપીએસસી ક્લાસ 3ની પરીક્ષા રાજકોટ ખાતે હોવાથી ગુરુવારે વહેલી સવારના જીજે 11 બીસી 7300 નંબરના બાઈક પર બેસાડી માણાવદરથી નીકળ્યા હતા. તે વખતે સવારે 6 વાગ્યાના અરસામાં દગડ ગામના ફાટક પાસે પહોંચતા બાઇકની પાછળ જીજે 03 ડબલ્યુ 8210 નંબરનો ટ્રક આવતો હતો જેથી ચાંદભાઈએ બાઈક સાઈડમાં લેતા અચાનક કડ આવતા તેની બહેન બાઈક પાછળથી પડી ગઈ હતી અને પૂરઝડપે આવેલો ટ્રક રુકસાનાબેન પર ફરી વળતા ગંભીર ઇજા થવાથી જૂનાગઢ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટના અંગે મૃતક યુવતીના ભાઈ ચાંદભાઈની ફરિયાદ લઈ અકસ્માત બાદ ટ્રક મૂકીને નાસી ગયેલા ચાલકની માણાવદર પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
પાક.માછીમારોની પૂછપરછ:ભારતીય જળસીમામાં પ્રવેશતા ‘અલ વલી’ બંધ : હવે પોરબંદરના નવી બંદરને સોંપાશે !
ભારતીય તટરક્ષક દળે બુધવારે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારીઓને આંતરી ઝડપી લેવામાં આવ્યા હતા. ગુરુવારે વિવિધ એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, કશું શંકાસ્પદ મળ્યું ન હતું. અંતે જળસીમા પોરબંદર નક્કી થતા હવે દરિયાઈ માર્ગે નવી બંદર પોલીસ મથકે બોટ અને પાકિસ્તાનીઓને સોંપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક જખૌ સ્ટેશન કમાન્ડર કમાન્ડટ ઉમેદસિંઘના નેતૃત્વમાં પેટ્રોલિંગમાં રહેલ કોસ્ટ ગાર્ડની C-437 ઇન્ટરસેપ્ટર બોટ કમાન્ડિંગ ઓફિસર અંબરીશ શુક્લા સહીત પેટ્રોલિંગમાં હતા. આ સમયે પાકિસ્તાની માછીમારી બોટ અલ વલી ભારતીય જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે ત્વરિત જ બોર્ડને આંતરતા તેમાં કુલ 11 પાકિસ્તાની ક્રૂ સામેલ હતા, જેમાં 2 સગીરનો સમાવેશ થાય છે. પકડાયેલા પાકિસ્તાનીઓમાં ટંડેલ સફી મોહમ્મદ, હુસૈન, ઝાહિર, ગુલામ મુસ્તફા, સર્વર, મેટાબાલિ, ઇબ્રાહિમ, હબીબુલ્લાહ, સુલતાન, સુમા અને સરફરાઝનો સહિતનાઓનો પકડી પાડ્યા હતા. ગુપ્તચર એજન્સીના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર પાકિસ્તાનીઓ પાસેથી બોટમાંથી જમવાનો સમાન, મોબાઈલ, કી-પેડ ફોન, ૧૦૦૦ પાકિસ્તાની જેટલા રોકડા સહીત મુદામાલ મળી આવ્યો હતો. જખૌ ખાતે રાજ્યથી કેન્દ્ર સહીત વિવિધ એજન્સીઓ - ગુપ્તચર એજન્સીઓએ ગહન પૂછપરછ કરી હતી. જળસીમાને લઈને અંતે પોરબંદરની હદ નક્કી થતા જખૌ મરીન પોલીસના બદલે હવે પોરબંદર ખસેડવામાં આવશે, જ્યાં નવી બંદર પોલીસને સોંપાશે. શુક્રવારે અલ વલી બોટને પકડાયેલા પાકિસ્તાનીઓ સાથે ખેંચી ત્યાં લઇ જવામાં આવશે.
જુગાર ધામ ઉપર રેડ:જાહેરમાં જુગાર રમતા 4 શખ્સની 15,230 સાથે અટક
જૂનાગઢ મેંદરડામાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સની રૂપિયા 15, 230ના મુદામાલ સાથે અટક કરી હતી. નંદામાં સામા કાંઠે ખેતીવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે રેઇડ પાડી જુગાર રમી રહેલા ભાવેશ દેવશીભાઈ રાઠોડ, ચેતન કનાભાઈ વકાતર, જીતુ ભુપતભાઈ મકવાણા તથા વિશાલ કેશુભાઈ વાઘાણીને ઝડપી લીધા હતા અને રૂપિયા 15,230ની રોકડ રકમ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રણમાં ડીઝલનો કાળો ધંધો:આર્ચીયન કંપની પાસે 18,300 લિટર ડીઝલ સાથે ૩ ઈસમોની ધરપકડ
કચ્છના રણ વિસ્તારમાં ડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતી હોવાની મળતી ફરીયાદોના પગલે જિલ્લા કલેકટરની સૂચન મુજબ જિલ્લા પુરવઠા વિભાગે 07 ડીસેમ્બરના હાજીપીર ગામ બાજુ આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આર્ચીયન કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. કંપનીની આસપાસના રસ્તા ઉપરથી કોઈપણ પ્રકારની પરવાનગી, આધાર કે બિલ વિના ડીઝલ ભરેલ કુલ 4 ટાંકાઓ મળી આવ્યા હતા. સ્થળ પરથી મહેશ્વરી વિનોદ, જાડેજા વિજયસિંહ અને ભાટી સવાઈસિંહ નામના ત્રણ ઈસમોને ઝડપી લેવાયા હતા. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે પકડાયેલ 4 ટાંકાઓમાં મળેલ 13.85 લાખની કિમતનું અંદાજિત 18,300 લિટર ડીઝલને સ્થળ પર જ સીલ કરી મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ કોઈ પણ પ્રકારનું બિલ, લાયસન્સ, ટ્રાન્સપોર્ટ પેસપરમિટ અથવા માલિકીના દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે ડીઝલનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યો હતો અને તેનું વેચાણ થતું હોવાની આશંકા છે. અંગે પુરવઠા વિભાગ વધુ તપાસ હાથ ધરી રહ્યો છે. ડીઝલની ગેરકાયદેસર ખરીદી-વેચાણથી સુરક્ષા જોખમ, આગની સંભાવના અને ગેરકાયદેસર તસ્કરી જેવા મુદ્દા ઊભા થતા હોવાથી જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ તાત્કાલિક કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ભેસાણના છોડવડી નજીક આવેલા સતીઆઇધામ મંદિર ખાતે બે દિવસથી ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ મહંત અવંતિકાનંદ સરસ્વતી મહારાજને પુણ્યતિથિ પાંચમી અને 551 કુવારીકા દીકરીઓનું પૂજન ભોજન અને દક્ષિણા ટાઈપના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં અનેક સાધુ સંતો હાજરી આપી હતી. આ મંદિરનું મુખ્ય ઇતિહાસ વર્ષો પહેલા આ જંગલમાં એક બ્રાહ્મણની દીકરી અહીંયાસતી થઇ જમીનમાં સમાઈ ગયા હતા અને ત્યાં આજુબાજુના ગામ લોકો દ્વારા સતીઆઇ માતાજીનું મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યાર પછી આ મંદિરમાં હાલમાં બાર જ્યોતિર્લિંગ એટલે કે યાત્રા કરવા જવાનું હોય તો અહીંયા દર્શન કરવાથી યાત્રા જેટલું જ પુણ્ય બહાર જ્યોતિર્લિંગની યાત્રાનું પુણ્ય મળે છે અને હવે પછી આજે ચારધામની યાત્રા અહીંયા પૂર્ણ થાય તે હેતુથી નવનિર્માણ રૂપિયા 20 લાખના ખર્ચે મંદિર બનાવે મૂર્તિઓને પ્રતિષ્ઠા કરી હતી. જેમાં બદ્રીનાથ કેદારનાથ અમરનાથ અને જગન્નાથને દ્વારકાધીશ અને હનુમાનજી અને કાળભૈરવની મૂર્તિને ઓમ હવન કરે શાસ્ત્રોક વિદ્યાનું સાર પ્રતિષ્ઠા કરી મંદિરોમાં બેસાડવામાં આવ્યા હતા અને આજથી ભાવિક ભક્તો માટે આ મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. બાપુની પૂજ્ય પુણ્યતિથિ નિમિત્તે 5000 થી વધારે લોકોનું જમણવાર યોજાયું સાથે રાત્રિના સંતવાણી નો કાર્યક્રમ હતો. સાધુ સંતોને યોગ્ય દક્ષિણા પાસેથી અહીંના મંદિરના પૂજારી ખાનાપતે નિત્યાનંદ સરસ્વતી મહારાજ ત્યાં સેવા પૂજા કરી રહ્યા છે જેમાં અનંત વિભોષિત મહામંડલેશ્વર શ્રી 1008 જેયાનંદ મહારાજ ગુરુ શ્રી સેક્રેટરી મહંત અખાડાનંદ સરસ્વતી મહારાજના સાનધ્યમાં તેમજ કોટવાર શ્રીકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આ ભવ્ય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા સરાહનીય કામગીરી:સોમનાથ મંદિરે દર્શને આવેલ મહિલા પડી જતા પોલીસે સારવાર અપાવી
સોમનાથ મંદિરે દર્શને આવેલ બસંતી દેવી રહેવાસી પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ વાળાને મંદિરમાંથી બહાર નીકળવાના દક્ષિણ ગેટ પાસે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા અને માથાના ભાગે ઇજા થઈ હતી. જે દરમિયાન મેઈન ગેઈટ પરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન ડોડીયાએ સતર્કતા દાખવી 108 માં કોલ કરી તાત્કાલિક પ્ર. પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. અને ગુજરાત પોલીસ તંત્રનું મેં આઈ હેલ્પ યુનું સુત્ર સાર્થક કર્યું હતું.
લારીધારકો દ્વારા ચીફ ઑફિસરને રજૂઆત:વેરાવળના આઈકોનિક રોડના નામે લારીધારકોને વારંવાર પરેશાન કરાય છે
વેરાવળના મુખ્ય માર્ગો પર લગભગ 137 જેટલા લારીધારકોને અવાર નવાર આઇકોનિક રોડના નામે હેરાન પરેશાન કરવામાં આવતા લારી ધારકો દ્વારા ચીફ ઑફિસરને રજૂઆત કરવામાં આવી છે અને આ રોડને આઇકોનિક રોડ નામ કઈ રીતે આપવામાં આવ્યું છે અહીં એવી કઈ આઇકોનિક સુવિધાઓ છે તે લોકોને જણાવવા પણ રજૂઆત કરવામાં આવી છે. લારીધારક એસોસિએશન દ્વારા કરાયેલ રજૂઆતમાં વેરાવળ બાયપાસથી ટાવર ચોક સુધીના રોડને આઇકોનિક રોડ નામ આપીને અવાર નવાર અત્યંત નાના વર્ગના 137 જેટલા રેકડીધારકો જે રોજનું કમાઈને ગુજરાન ચલાવે છે તેમને હટાવી અને હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આ રોડ કઈ રીતે આઇકોનિક રોડ છે અને એવી કઈ સુવિધાઓ છે તેમજ રેકડીધારકોને યોગ્ય વ્યવસ્થા કરી આપવા રેકડીધારક એસોસિએશન દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે. નોંધનીય છે કે તત્કાલીન જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં એક વર્ષ અગાઉ ત્રીમાસિક સફાઈ અભિયાન શરૂ કરાયું હતું તે સમયે રેકડી ધારકોને યોગ્ય જગ્યા ફાળવવા માટે પાલિકાને જણાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી પાલિકા તંત્ર આ વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. આગામી સમયમાં કામ શરૂ થશે : પાલિકા ચિફ ઓફિસરઆ બાબતે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે અહીં નમસ્તે સર્કલથી ટાવર ચોક સુધી મુખ્ય રોડ છે. જ્યાં લારી અને પથારાધારકોને કારણે ટ્રાફિક સર્જાય છે.આઇકોનિક રોડ બાબતે તેમણે જણાવ્યું હતું કે તમામ બાબતો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ચૂકી છે. આગામી ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થશે.જ્યારે રોડ રસ્તાના ધીમી ગતિએ ચાલતા કામો અંગે તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવામાં આવી છે.જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
માંગ:પાટીદાર સમાજને ચૂંટણીમાં પણ EWS કેટેગરી આપવા માંગણી
આજથી દસ વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન થયુ હતું અને ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં EWS આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે લોકસભા વિધાનસભા મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત ચૂંટણીમાં પણ EWS કેટેગરી મળે એવી માંગણી જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના ભંડુરી ગામના પાટીદાર યુવાન નયન જીવાણી એ માંગણી કરી છે. નયન જીવાણી એ વધુમાં જણાવ્યું કે સરકાર ગ્રામ પંચાયત તથા સ્થાનિક સ્વરાજ્યની એટલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં પણ પાટીદાર સમાજને EWS કેટેગરી મળે તો ઘણાં યુવાનો શિક્ષણ ક્ષેત્રમાં લાભ લઈ રહ્યા છે તેવી જ રીતે ચૂંટણીમાં પણ પોતાની કેટેગરીમાં પોતે ઉમેદવારી નોંધાવી શકે અને ચૂંટણીઓ સારી રીતે લડી શકે છે.
આર્થિક સંકટના એંધાણ:દરિયામાં લાઈન અને લાઈટ ફિશીંગ બંધ કરાવો : માછીમારો
વેરાવળના માછીમારો લાઇન અને લાઇટ ફિશિંગને પગલે છેલ્લા કેટલાક સમયથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે અનેક વખત માછીમાર સમુદાય અને બોટ એસો.ના આગેવાનો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગોને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં ન આવતા ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે અને કામગીરી કરવા માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં શ્રી ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશોસીએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર સમગ્ર દેશનાં દરિયા કિનારા પૈકી સૌથી મોટો દરિયા કિનારો (આશરે 1600 કિ.મી.) ધરાવતા ગુજરાતમાં રાજયના લાખો માછીમારો વર્ષોથી પરંપરાગત અને ટકાઉ માછીમારી કરી, પોતાનાં કુટુંબનું ભરણપોષણ કરી રહયા છે, સાથોસાથ મત્સ્યોધોગ સાથે સંકળાયેલા અન્ય હજારો ધંધાર્થીઓ પણ રોજગારી મેળવે છે મત્સ્યોધોગનાં માઘ્યમથી ગુજરાત રાજય ધ્વારા દેશને વાર્ષિક રૂા.5500 થી 6000 કરોડ જેટલું વિદેશી હુંડિયામણ રળી આપે છે, સાથોસાથ દેશની GDP માં પણ સિંહફાળો આપે છે. આવા લાખો કુટુંબોને રોજગારી આપતા મત્સ્યોધોગ, માછીમારો ઉપરાંત મત્સ્યોધોગ સાથે સંકળાયેલા વિવિધ ધંધાર્થીઓ ઉપર ગંભીર આર્થિક સંકટ તોળાઈ રહયુ છે. કારણ કે અમુક તત્વો ઘ્વારા દેશ/રાજયનાં દરિયામાં લાઈટ ફીશીંગ, લાઈન ફીશીંગ જેવી રાક્ષસી વૃતિથી ગેરકાયદેસર રીતે ફીશીંગ કરી રહયા છે. લાઈટ ફીશીંગમાં એલઈડી લાઈટની મદદથી દરિયાના પેટાળમાં રહેલ નાનામાં નાની માછલી પણ ખેંચી લે છે જયારે લાઈન ફીશીંગ કે જેમાં મોટા સમૂહમાં એકી સાથે પાંચ થી છ નોટીકલ માઈલ વિસ્તાર સુધી જાળ નાંખીને ખેંચવાથી આ વિસ્તારમાં રહેલ તમામ માછલીઓ, માછલીનાં બચ્ચા જ નહીં પરંતુ આ વિસ્તારનાં દરિયાની તમામ વનસ્પિતિ તેમજ જીવ સુષ્ટિનો પણ નાશ થઈ જાય છે. કામગીરી નહીં કરાય તો માછીમારી ઉદ્યોગ પડી ભાંગશેએકમાત્ર પરંપરાગત માછીમારી વ્યવસાય ઉપર જ ગુજરાતના માછીમારો નભતા આવ્યા છે અને આવી ગેરકાયદેસર પધ્ધતિથી કરવામાં આવતી માછીમારીનાં કારણે પોતાની આજિવીકા ગુમાવી રહયા છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહયા છે. આવી પધ્ધતિથી કરવામાં આવતી માછીમારી ઉપર જે તે સમયે જ પ્રતિબંધ મુકવામાં આવેલ હતો પરંતુ તેની કડક અમલવારીનાં અભાવે દેશ/રાજયમાં ફરીવાર આવી પધ્ધતિથી ફીશીંગ કરવાની પ્રવૃત્તિ ફરી શરૂ થતા આ સંસ્થા સહિત રાજયના વિવિધ માછીમાર સંગઠનો ઘ્વારા સરકાર સમક્ષ લેખિત તેમજ રૂબરૂ રજૂઆતો કરવામાં આવેલ છે.તેમ એસો. ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે ઉમેર્યું હતું.
આંતરિક જિલ્લા બદલી કેમ્પ:જિલ્લાફેરના શિક્ષકોને છૂટા ન કરવાનો નિર્ણય 12 કલાકમાં ફેરવાયો
કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં આંતરિક જિલ્લા બદલી કેમ્પ જાહેર થયો છે, જેથી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેને ધોરણ 6થી 8માં જિલ્લાફેર બદલી મંજૂરી મેળવનારા શિક્ષકોને છૂટા ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ, ગુરુવારે સવારે અડગ દેખાતા ચેરમેને સાંજે ફેરવી તોળ્યો હતું અને તમામને છૂટા કરવા નિર્ણય લઈ લીધો છે, જેમાં શિક્ષક સંગઠનનું બળ કામ કરી ગયાના હેવાલ છે. કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી મેળવ્યા બાદ યેનકેન પ્રકારે બદલી કરાવી જતા હતા. જેને કારણે ઘટનો પ્રશ્ન વિદ્યાર્થીઓના ભાવિ માટે ચિંતાનો વિષય બન્યો હતો, જેથી દિવ્ય ભાસ્કરે વાલીઓની સમસ્યાને વાચા આપી હતી. જે બાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ જિલ્લાફેર બદલી મંજૂરીવાળા શિક્ષકોને છૂટા કરવા નનૈયો ભણી દીધો હતો. જેનો પડઘો ચેક ગાંધીનગરમાં પડ્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતા સમજી ખાસ કચ્છ માટે ધોરણ 1થી 5 માટે 1600 અને ધોરણ 6થી 8 માટે 2500 શિક્ષકોની નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે ભરતી શરૂ કરી હતી, જેમાં ધોરણ 1થી 5માં 1012 શિક્ષકો મળ્યા હતા. જોકે, 30થી 40 હજુ હાજર નથી થયા. ધોરણ 6થી 8માં 1563 મળ્યા છે અને 494ને નિમણૂક ઓર્ડર આપવાના હજુ બાકી છે. પરંતુ, 1120 જિલ્લાફેર બદલી મંજૂરી મેળવનારામાંથી 802 શિક્ષકો એવા છે જે 50 ટકા મહેકમ જળવાતો હોય ત્યાં નોકરી કરે છે એટલે એમને છૂટા કરવાની તૈયારી ચાલતી હતી. જોકે, બી.એલ.ઓ.ની કામગીરી કરતા 250 જેટલા શિક્ષકોને છૂટા કરવામાંથી હાલ બાકાત રખાયા હતા. જે બાદ શિક્ષક સંગઠનના દબાણને કારણે 552 જેટલા શિક્ષકોને ડિસેમ્બરમાં છૂટા કરવા માટે દરેક ટી.પી.ઈ.ઓ. પાસેથી વિગતો મંગાવાઈ હતી. જે વચ્ચે ગાંધીનગરથી નિયામકે મંગળવારે મોડી સાંજે આંતર જિલ્લા બદલી કેમ્પનો પરિપત્ર બહાર પાડ્યો હતો, જેથી શિક્ષણ સમિતિના ચેરમેને ધોરણ 6થી 8ના 150 જેટલા જિલ્લાફેર બદલી મંજૂરીવાળાને છૂટા કરવા નનૈયો ભણી દીધો હતો. પરંતુ, ગુરુવારે સાંજે શિક્ષક સંગઠનો અને નિયામકના દબાણમાં આવીને ફિયાસ્કો કરી દીધો છે, જેથી હવે 550 ઉપરાંતના શિક્ષકો છૂટા થશે. 7 તાલુકાના હુકમ તૈયાર, આજે વધુ 3ના થશે10મી ડિસેમ્બરે છૂટા કરવાની ગણતરીથી દરેક તાલુકામાંથી મંજૂર મહેકમ, કામ કરતા શિક્ષકો, ઘટ, જિલ્લાફેર બદલીવાળાને છૂટા કર્યા બાદ 50 ટકા મહેકમ જળવાતું હોય તો એની વિગતો મંગાવાઈ હતી. જેની ચકાસણી છેલ્લા બે દિવસથી ચાલે છે. બે દિવસમાં 7 તાલુકાના હુકમો ઉપર સહી થઈ ગઈ છે અને હવે 3 તાલુકા બાકી છે. જે આજે થશે. છૂટા નહોતા કરવાના પણ નિયામકે કહ્યું છે : ચેરમેનજિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આંતર જિલ્લા બદલી કેમ્પ જાહેર થતા જ છૂટા નહોતા કરવા. પરંતુ, ગુરુવારે સવારથી સાંજ સુધી સતત નિયામક સાથેની ટેલિફોનિક વાતચીત બાદ સાંજે તમામને છૂટા કરવાનો નિર્યણ લેવાયો છે!
વિદેશની ધરતી પર જઈને સફળતા મેળવવી સહેજ પણ સહેલી નથી. અનેક પડકારો ઝીલીએ ત્યારે સફળતાનો આસ્વાદ માણવા મળે છે. 'ગ્લોબલ ગુજરાતી'ના આજના છેલ્લા એપિસોડમાં આપણે વાત કરીશું ઓસ્ટ્રેલિયામાં પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન જમાવનારા રમેશભાઈ પટેલની. ટીચર તરીકે શરૂ કરેલી સફર કેવી રીતે બિઝનેસમેનમાં પરિણમી? પ્રિન્ટિંગ વ્યવસાયમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો? ગોલ્ડમેડાલિસ્ટ રહી ચૂક્યા છેઉત્તરસંડામાં ખેડૂત પરિવારમાં જન્મેલા રમેશભાઈના પેરેન્ટ્સ (હરમાનભાઈ ને શાંતાબેન) ખાસ ભણ્યા નહોતા, પરંતુ તેમની એવી ઈચ્છા હતી કે ત્રણ દીકરા ને બે દીકરીઓ અચૂકથી ભણે. પરિવારમાં સૌથી મોટા દીકરા એટલે રમેશભાઈ. આજે તો બંને બહેનો આ દુનિયામાં નથી. એક ભાઈ લંડનમાં ને બીજો ભાઈ ઉત્તરસંડામાં જ પાપડ ને આઇસક્રીમનો બિઝનેસ કરે છે. રમેશભાઈ કહે છે, 'મારું સ્કૂલિંગ ઉત્તરસંડામાં જ થયું. સામાન્ય રીતે હું આ વાત કોઈને કહેતો નથી, પરંતુ સ્કૂલમાં હું ગોલ્ડમેડાલિસ્ટ રહી ચૂક્યો છું. સ્કૂલ પૂરી કરીને કોમર્સ લીધું ને એક વર્ષ નડિયાદ ને પછી વિદ્યાનગરમાં ભણ્યો. બી.કોમ, એમ.કોમ સુધી ભણ્યો.' વાતને આગળ વધારતા રમેશભાઈ જણાવે છે, 'એમ.કોમ જેવું પૂરું થયું એટલે નડિયાદમાં નવી નવી ચાલુ થયેલી ધર્મ સિંહ દેસાઇ ટેક્નિકલ હાઇસ્કૂલમાં ટીચરની નોકરી મળી ગઈ. ત્યાં બે વર્ષ જૉબ કરી. પછી બે વર્ષ જીવન વિકાસમાં કામ કર્યું. તે સમયે મેં સવારે સ્કૂલમાં નોકરી કરીને બપોર પછી બી.એડ પૂરું કર્યું. મને સ્કૂલને આગળ ભણવાની પરવાનગી આપી તો મારે એ પૂરું થઈ ગયું.' ટીચરથી આફ્રિકાની સફર'તમને નવાઈ લાગશે કે જેવું મારું બી.એડ પૂરું થયું એટલે હું સીધો જ આફ્રિકા પહોંચી ગયો. આફ્રિકા જવાનું એવું કોઈ ચોક્કસ કારણનહોતું, પરંતુ સારી તકો હતી. સાચું કહું તો મારે સ્કૂલમાં ટીચર તરીકે જૉબ કરવી જ નહોતી. એ જૉબ મળવી એ માત્ર સંયોગ હતો. 1981માં મારા લગ્ન કલા સાથે થયા. તેના કાકા આફ્રિકામાં હતો તો તેમણે મને ત્યાં આવવાનું કહ્યું તો મેં તરત જ આ તક ઝડપી લીધી. 1981માં જ અમે આફ્રિકા ગયા. ત્યાં કાકાની જ સ્કૂલ હતી તો ત્રણેક વર્ષ એ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળ્યું. પછી તો તેમને કહી દીધું કે સ્કૂલ ને ટીચરની જૉબ એ મારી કરિયર છે જ નહીં. પછી મેં મારો બિઝનેસ શરૂ કર્યો. મેં ઓટોમોટિવ સ્પેર પાર્ટ્સનો બિઝનેસ ચાલુ કર્યો. હું કેન્યામાં 14 વર્ષ રહ્યો. કેન્યાની વાત કરું તો નૈરોબી મેઇન સિટી અને ત્યાંથી થોડા દૂર જાવ તો એકદમ સરળ લોકો મળે. મને તો કેન્યામાં આટલા વર્ષોમાં ક્યારેય કોઈ જાતનો કડવો અનુભવ થયો નહોતો.' 'એજ્યુકેશનને કારણે આફ્રિકા છોડ્યું'રમેશભાઈ ઉમેરે છે, 'આ દરમિયાન દીકરો નીરવ ને દીકરી ક્રિશ્નાનો જન્મ થયો. હવે બાળકોના એજ્યુકેશનની વાત આવી. એવું નહોતું કે કેન્યામાં એજ્યુકેશન નહોતું, પરંતુ ત્યાં લોકલને પ્રાયોરિટી વધારે આપે એટલે મારે બહાર નીકળવું પડે તેમ હતું. તે સમયે મારો બિઝનેસ એકદમ ફર્સ્ટક્લાસ ચાલતો હતો. ત્યાં રહીને હું છોકરાઓને દુનિયાના ગમે તે દેશમાં ભણાવી શક્યો હતો. અલબત્ત, મારી ઈચ્છા પરિવાર સાથે રહે તેવી જ હતી. આ જ કારણે પછી મેં અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અઢળક તકો હતી એટલે ત્યાં થોડું રિસર્ચ કર્યું. આ બધામાં મને ઓસ્ટ્રેલિયા સૌથી વધારે ગમ્યું એટલે ત્યાં જવાનું નક્કી કર્યું.' 'ઓસ્ટ્રેલિયા તદ્દન નવું હતું''1995માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં લેન્ડ થયો. બિઝનેસ વિઝા માટે કેન્યામાં મારા બિઝનેસ ઓસ્ટ્રેલિયન એમ્બેસીમાં બતાવ્યા અને તેને કારણે હું ક્વોલિફાય થયો. ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ વિઝાનો ક્રાઇટેરિયા એટલો જ હતો કે ત્યાંના લોકો માટે તક ઊભી કરવાની અને રોકાણ કરવાનું. હું આ ચેકલિસ્ટમાં ખરો ઉતરતો હતો. ઓસ્ટ્રેલિયા મારા માટે તદ્દન નવું હતું. ભાષાથી માંડીને કલ્ચર બધું જ અજાણ્યું લાગે. ત્યાં રાજકારણ, નીત-નિયમો, કાયદા, બિઝનેસની તકો, બિઝનેસની રીત.. આ બધું શીખવાનું હતું. કેન્યાના અનુભવ કરતાં ત્યાં અલગ હતું અને આ બધી બાબતો સમજતા જ મને તો નવ મહિના થયા. ત્યાંની નાનામાં નાની વાત સમજ્યો. ત્યાં શું સારું, શું નથી એ જાણ્યું ને સમજ્યું.' 'સિગારેટ કે દારૂનો બિઝનેસ કોઈ કાળે કરવો નહોતો''મારા મગજમાં એ નક્કી હતું કે મારે કેવા પ્રકારના બિઝનેસમાં ઝંપલાવવું છે. હા, એ વાત પણ એટલી જ સાચી કે મારે સિગારેટ્સ કે દારૂનો ધંધો કરવો નહોતો. તમે મને રૂઢિચુસ્ત કહી શકો.મને પપ્પા કે પરિવારમાંથી કોઈએ ના નહોતી પાડી, પરંતુ મારે આ પ્રકારના બિઝનેસ કરવા જ નહોતા. મેં આજ દિન સુધી ક્યારેય સ્મોકિંગ કે ડ્રિંક કર્યું નથી. મારું નક્કી હતું કે સોમથી શુક્ર સુધી કામ ને વીકેન્ડ પરિવાર સાથે પસાર કરું. મારે બિઝનેસની સાથે સાથે લાઇફ પણ એન્જોય કરવી હતી. પાછો બિઝનેસ થોડો હાઇટેક જોઈતો હતો એટલે કેપિટલ ઇન્ટેન્સિવ હોય પણ કોમ્પિટિશન ઓછી રહે.મારી પાસે ખાસ પૈસા હતા નહીં એટલે હું પાર્ટનર શોધતો હતો. કોઈક હા પાડે ને કોીક ના પાડે. તે સમય મારા માટે ઘણો જ મુશ્કેલ હતો. થોડા સમય પછી પાર્ટનર પણ મળી ગયો.' 'નાદારીના આરે આવેલો બિઝનેસ ખરીદ્યો''ઓસ્ટ્રેલિયા ગયો પછી ન્યૂઝ પેપરમાં એક એડ આવી હતી. પ્રિન્ટિંગ બિઝનેસ વેચવાનો હતો. આ બિઝનેસ નાદારીની સ્થિતિમાં હતું. બિઝનેસ ઘણો જ નાનો હતો. પછી તો મેં પ્રિન્ટિંગ પ્રેસ અંગે વાંચવાનું ને જાણવાનું શરૂ કર્યું. ત્યાં વકીલો ને અકાઉન્ટન્ટ્સ બિઝનેસની લિક્વિડેટ અંગે નિર્ણય લેતા હોય છે. એડિમિનિસ્ટ્રેશનમાં એ જ મેનેજ કરે. મેં તેમની સાથે વાતચીત કરવાની શરૂ કરી. એપ્રિલથી વાતચીત શરૂ થઈ કે તે સપ્ટેમ્બર સુધી ચાલી. 1995માં ચાર સપ્ટેમ્બરે મને ક્વોલિટી પ્રિન્ટિંગ પ્રેસનું પઝેશન મળ્યું.' 'પર્થમાં બિઝનેસ કરવો સરળ હશે તેમ લાગતું હતું''ઓસ્ટ્રેલિયા આવ્યો ને બંને બાળકોનું ભણવાનું ચાલુ થયું. મારી પહેલી પ્રાયોરિટી બાળકોનું એજ્યુકેશન જ હતું. બે-ત્રણ દિવસમાં એક અપાર્ટમેન્ટ લઈ લીધું. શરૂઆતમાં તો કાર જ નહોતી એટલે બધે જ ચાલી ચાલીને જવું પડતું. ત્યાં પાછું બધું દૂર દૂર હોય એટલે વાંધો પણ આવે. પહેલા બાળકોનું એડમિશન લઈને તેમને સેટ કર્યા પછી મેં બિઝનેસ અંગે વિચાર્યું. ઓસ્ટ્રેલિયામાં પર્થ જ કેમ આવ્યો તે પાછળનું કારણ કહું તો મને લાગ્યું કે ત્યાં બિઝનેસ કરવો સરળ રહેશે. મોટા સિટીમાં વધારે પૈસા જોઈએ અને ત્યાં સ્પર્ધા પણ વધારે હોય. પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં જવાનું કારણ એવું હતું કે મારે એક પ્લેટફોર્મ જોઈતું હતું.' 'ઓસ્ટ્રેલિયામાં લેબર કાયદો કડક છે'રમેશભાઈ કહે છે, 'પ્રિન્ટિંગ મારા માટે તદ્દન નવું ફિલ્ડ હતું. મને કોઈ જાતનો અનુભવ નહોતો. મેં મારા જીવનમાં પહેલી જ વાર પ્રિન્ટિંગ મશીન જોયા હતા. પ્રિન્ટિંગ હાઇ ટેક બિઝનેસ હતો. ત્યાં લેબર લૉ ઘણા જ કડક છે એટલે એ બધું સમજવું જરૂરી હતું. 1995માં ઓસ્ટ્રેલિયા ભારતીય કમ્યુનિટીના બિઝનેસથી ખાસ પરિચિત નહોતું. ઓસ્ટ્રેલિયન સોસાયટીને તમારે સમજવી પડે અને ત્યાં તમારે અલગ અપ્રોચ રાખીને કામ કરવું પડે. તમે ત્યાં કડકાઈથી કામ ના લઈ શકો. ત્યાં બધા જ બહુ જ પ્રોફેશનલ હોય. કામ સાથે કામ. આપણા ભારતની જેમ ત્યાં કોઇ ઇમોશનલી અટેચ ન થાય. આ બધું હું ત્યાં જઈને શીખ્યો. ત્યાં લેબર યુનિયન એકદમ સ્ટ્રોંગ હોય. ઓસ્ટ્રેલિયામાં તમને નવા જુએ એટલે તમને હેરાન ને શોષણ કરવા માટે તૈયાર જ હોય.' '10 માણસોથી બિઝનેસની શરૂઆત કરી''તે સમયે અમે 10 લોકોથી કામની શરૂઆત કરી હતી. ત્યાં બિઝનેસમાં નવા આવનારા સાથે લોકો ખચકાટ સાથે બિઝનેસ કરે. લોકો જલ્દીથી ક્રેડિટ પણ આપે નહીં એટલે બધું જ રોકડેથી ખરીદવું પડે. બેંક પણ નવા હોવાને કારણે પૈસા આપે નહીં. પૈસાનું પ્રેશર ઘણું જ રહેતું. પાર્ટનર હતા પણ તેમને ઓસ્ટ્રેલિયામાં જ પહેલી જ વાર મળ્યો. તે પણ મને ઓળખે નહીં. અમે બંને ભારતીય હતા બસ એ જ. તેઓ કેન્યાના હતા પણ એવી ખાસ ઓળખાણ હતી નહીં. બધી જ જગ્યાએ સાચવી સાચવીને પગલાં ભરવા પડે. કામ કરતા લોકોનો વિશ્વાસ ઊભો કરવાનો. બધાને સાથે લઈને વિશ્વાસમાં લઈને ચાલવાનું હતું. બિઝનેસ સ્ટેબલ થવામાં ખાસ્સો સમય લાગ્યો. એ વાત એટલી જ સાચી કે હું ક્યારેય પરિસ્થિતિ આગળ દબાણ અનુભવું નહીં. મન શાંત રાખીને જ બિઝનેસ કરતો. બિઝનેસ સ્કિલ, ડિપ્લોમસી, પ્લાનિંગ બધું જ કરતો. મારું નક્કી હતું કે દર પાંચ વર્ષનું પ્લાનિંગ કરવાનું. પાંચ વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જોવા માગો છો તે જ રીતે પ્લાનિંગ કરતો અને એ દિશામાં કામ કરતો.' બિઝનેસમાં પ્રોફિટ આવાનો ક્યાંથી શરુ થયો?રમેશભાઈ કહે છે, 'જયારે કોઈ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં હોય ત્યારે એ નુકસાન કરતો બિઝનેસ છે.આ પ્રકારના બિઝનેસમાં તો પહેલું લક્ષ્ય તો બિઝનેસને સ્થિર કરવાનું જ હોય છે. એટલે કે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં લાવવાનો. આ પરિસ્થિતિ લાવતા ખાસ્સો સમય લાગ્યો.પ્રિન્ટિંગ ટેક્નોલોજી ઝડપથી બદલાતી હોય છે એટલે તેની સાથે તાલમેલ બેસાડવાનો હોય. ઘણા વર્ષો સુધી અમે એક ડૉલર પણ બિઝનેસમાંથી લેતા નહોતા અને બિઝનેસને એક્સપાન કરતા. પ્રોફિટને પણ બિઝનેસમાં જ લગાડતા. પછી તો પાર્ટનર્સ સાથે પણ કોઈ વાંધો આવ્યો નહોતો. પોતાનો પ્લોટ લઈને બિલ્ડિંગ બાંધ્યું. માર્કેટમાં પણ અમારું નામ ખાસું પ્રચલિત હતું.' 'પ્રિન્ટિંગ પ્રેસને સતત અપડેટ કરી''વધુમાં કહું તોં, પ્રિન્ટિંગ બિઝનેસને સતત અપડેટ કર્યો ને ટેક્નોલોજી સાથે પરિવર્તન કર્યું. કારણ કે ટેક્નોલોજી આગામી પાંચ વર્ષ સુધી ફાયદાકારક હોય છે. બેઝિક ટેક્નોલોજી તો એ જ હોય, પરંતુ લેટેસ્ટ ટેક્નોલોજીમાં નવું નવું ઓટોમેશન આવતું હોય તે બિઝનેસમાં લાવો નહીં તો બીજા સાથે સ્પર્ધા કરી જ ના શકાય.100-100 વર્ષથી ચાલતા પ્રિન્ટિંગ બિઝનેસને અમારે ટક્કર આપવી એક પડકાર હતો. આ પડકારનો સામનો કરવાનો એક માત્ર રસ્તો હતો કે સારા લોકો લો ને સારા મશીન ખરીદો. પર્થમાં સૌ પહેલા ડિજિટલ મશીન અમે લાવ્યા. ડિજિટલ મશીનમાં નાના-નાના પ્રિન્ટિંગ થાય અને જથ્થાબંધ માટે ઑફસેટ પ્રિન્ટિંગ હોય. કોસ્ટમાં કેવી રીતે ઘટાડો કરી શકાય તે રીતે ડિજિટલ ને ઑફ સેટ પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. અમારા ત્યાં અમે ડિજિટલ પ્રિન્ટિંગ શરૂ કરનારા પહેલા હતા. કન્ટીન્યૂઅસ એટલે કે ન્યૂઝપેપર છપાતાં હોય તેવા પ્રિન્ટિંગ મશીન ઘણા જ મોટા હતા.' 'વિશ્વભરમાંથી મશીનો ખરીદ્યા''અમે અમારા બિઝનેસમાં અલગ-અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો અને અમે ડિજિટલ, સાઇન એજ, ઓફ સેટ પ્રિન્ટિંગ ઉપરાંત પેકેજિંગનું પણ કરતા થયા. અમે અલગ-અલગ બિઝનેસ એક છત નીચે કરતા . એક મશીનથી શરૂઆત કરી હતી અને આજે કેટલા મશીન છે તે સાચું કહું તો મેં ગણ્યા જ નથી. કદાચ 30 હોઈ શકે. અલગ-અલગ મશીન દુનિયાના અલગ દેશોમાંથી લાવ્યા. જાપાન, કોરિયા, જર્મની, ઇઝરાયેલ, ચીનમાંથી પણ આવ્યા છે. મશીન સપ્લાયર જ ફેક્ટરીમાં ઇન્સ્ટોલેશન કરે અને પછી તેઓ જ ટ્રેનિંગ આપે. આમ જોવા જઈએ તો ત્યાં પ્રિન્ટિંગ ઓપરેટર ત્રણ વર્ષનો યુનિવર્સિટી કોર્સ કરીને આવતા. પહેલા મશીન ઓપરેટ કરવા એટલા સહેલા નથી. અલબત્ત, હવે આ એટલું અઘરું રહ્યું નથી, કારણ કે હવે તો કમ્યપ્યુટર ને લેટેસ્ટ સોફ્ટવેર હોવાને કારણે તે જ બધું કંટ્રોલ કરે. પહેલા તો મશીન ઓપરેટેરે પોતાની ટેલેન્ટ ને આવડત મૂકવી પડી. હવે સ્પીડ, ક્વોલિટી બધું જ સોફ્ટવેરથી કંટ્રોલ થાય છે. ટર્શિયલ ટ્રેનિંગ કોર્સ બંધ થઈ ગયો છે અને તેને બદલે 15-20 દિવસની સીધી ટ્રેનિંગ જ આપવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ મુશ્કેલી આવે તો ફોન મશીન સપ્લાયર સમજાવી દેતા હોય છે.' 'પરિસ્થિતિ સામે ક્યારેય હાર નથી માની''બિઝનેસમાં મારું એક જ મોટો હતો કે એવરીથિંગ ઇઝ ઇન વન રૂફ. અમારું નક્કી હતું કે બધું જ કમ્પ્યુટરરાઇઝ રાખવાનું, ગ્રાહકો સાથે કોઈ જાતની છેતરપિંડી નહીં, જો ગ્રાહકને ખબર ના પડતી હોય તો પણ અમે તેમનો ગેરફાયદો ઉઠાવ્યો નહોતો. અમે આ રીતે ગ્રાહકોમાં વિશ્વાસ ઊભો કર્યો હતો. અમારી પ્રેસનું નામ ક્વોલિટી પ્રેસ છે અને તેણે પોતાનું નામ ઇન્ડસ્ટ્રીમાં જાળવી રાખ્યું હતું. ક્વોલિટી પ્રેસ ક્યારેય છેતરપિંડી ના કરે તે ગ્રાહકોનો અટલ વિશ્વાસ છે. 8-9 લોકો સેલ્સમાં હતા અને તેઓ અલગ અલગ કસ્ટમર મેનેજ કરતા. 10 માણસોથી બિઝનેસ શરૂ કર્યો ને અત્યારે 70 માણસો છે. વિશ્વભરમાંથી ઓર્ડર આવતા. અમે આટલા વર્ષોમાં અનેક પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ. ક્યારેક એકદમ પ્રેશર આવી જાય, અચાનક મોટો ઓર્ડર હોય ને ડેડલાઇન બહુજ ઓછી હોય એ રીતે કામ કર્યું છે. હું ક્યારેય પરિસ્થિતિ સામે હાર્યો નથી કે નિરાશ થયો નથી. મેં હંમેશાં પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવી શકાય તેનો ઉકેલ જ શોધ્યો છે. હું એક વાત માનું છું કે પરિસ્થિતિ સામે ક્યારેય હથિયાર હેઠાં મૂકવા નહીં. વિશ્વમાં દરેકે દરેક સમસ્યા કે પરિસ્થિતિનો ઉકેલ રહેલો છે અને તમારે તેમાંથી બેસ્ટ ઉકેલ શોધવાનો છે.' 'કમ્પ્યુટર હેક કરી લેવામાં આવ્યા''મુશ્કેલીની વાત કરું તો, એકવાર અમારા તમામ કમ્પ્યુટર હેક કરી લેવામાં આવ્યા હતા. અમે તો ટોટલી કમ્પ્યુટરાઇઝેશન પર ચાલતા હતા તો તમામ લોકો માથે હાથ દઈને બેસી ગયા. મશીન પણ ચાલે નહીં. ખબર નથી ક્યાંથી કોઈએ હેક કર્યું હતું. ઇસ્ટ યુરોપમાંથી કદાચ હેક કરવામાં આવ્યું હતું. તેણે ખંડણી માગી. આ બધું તો ઘણું જ કોમન છે. વેસ્ટ ઓસ્ટ્રેલિયાના સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટના કમ્પ્યુટર હેક થઈ ગયેલા અને તેમણે પૈસા આપવા પડ્યા હતા. અમે પણ આનો ભોગ બન્યા અને હેકર્સે 1,50,000 ડૉલરની ડિમાન્ડ કરી હતી. કમ્પ્યુટરની ડેટાની મિરર ઇફેક્ટ હોય અને એ રીતે બે સર્વરમાં ડેટા રહેતો હોય. એ લોકોએ બંને હેક કર્યા હતા. અલબત્ત અમે એક ત્રીજું કમ્પ્યુટર પણ રાખ્યું હતું અને તેમાં તમામ ડેટા હતો. આ કમ્પ્યુટર માત્ર દિવસે ચાલે અને રાતે શટ ડાઉન કરી દેવામાં આવે. આ જ કારણે અમે એક ડૉલર પણ ચૂકવ્યો નહોતો અને અમારો ડેટા સહી સલામત અમને મળી ગયો. આ પરિસ્થિતિ ઘણી જ ભયાવહ હતી. ડેટા, અકાઉન્ટિંગ, સોફ્ટવેર, પ્રોગ્રામ્સ, મશીન બધું જ ફેઇલ થયું અને એક દિવસનો ખર્ચ 25-30 હજાર ડૉલર હતો. અમને આટલું નુકસાન થયું. અલબત્ત, મુશ્કેલીનો ઉકેલ આવ્યો તેનો આનંદ વધારે છે. અમે માત્ર સેફ્ટી માટે એક વધારાનું કમ્પ્યુટર મૂક્યું અને તેણે અમને મુસીબતમાંથી ઉગારી લીધા.' 'મશીન આવી ગયું ને બેંક લોન આપવાની ના પાડી''અન્ય એક પડકારની વાત કરું તો, અમે એક મશીન CTP (કમ્પ્યુટર ટુ પ્લેટ ટેક્નોલોજી)નો ઓર્ડર આપ્યો હતો. બેંકે લોન અપ્રૂવલ આપી દીધી હતી. મશીન તો આવી ગયું અને હવે પૈસા આપવાના હતાં. અમે બેંક પાસે ગયા, પરંતુ બેંક પોતાની વાત પરથી જ ફરી ગઈ. અમને બેંકે લેખિતમાં અપ્રૂવલ લેટર આપ્યો હતો પણ પછી અચાનક જ ખબર નહીં કેમ લોન રિજેક્ટ કરી દેવામાં આવી. 60 લાખ ડૉલરનું મશીન હતું. આ પરિસ્થિતિ પણ ઘણી જ ખરાબ હતી. અમારું મશીન ડેક પર આવીને પડ્યું હતું અને અમે તેને લઈ શકીએ નહીં. આ તો અમારી ક્રેડિબિલિટી પર સવાલ ઊભો થાય. અમે હાથ પર હાથ મૂકીને બેસી રહેવાના નહોતા. અમે તરત જ બીજી બેંક પાસે ગયા અને આખી પરિસ્થિતિ સમજાવી ને તે બેંકે તરત જ લોન આપી. દરેક મુસીબતનો ઉકેલ ક્યાંકને ક્યાંક રહેલો જ છે. તમે પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો તે વાત મહત્ત્વની છે.' કેટલી નેટવર્થ?રમેશભાઈ કહે છે, 'બિઝનેસ 5,00,000 ડૉલર કરતાં પણ ઓછામાં શરૂ કર્યો હતો અને આજે તો રિયલ એસ્ટેટ સહિત બિઝનેસની નેટવર્થ 20 મિલિયન ડૉલર જેટલી હશે.' 'ગુજરાત સાથે આજે પણ સંપર્ક રાખ્યો છે'ગુજરાતીપણુ કેવી રીતે સાચવી રાખ્યું તે અંગે રમેશભાઈ કહે છે, 'છેલ્લા ઘણા વર્ષોથી ભારતની બહાર છું, પરંતુ ગુજરાત સાથે આજે પણ સંપર્ક જાળવ્યો છે. કેન્યા હતો ત્યારે બે-ત્રણ વર્ષે આવતો અને ઓસ્ટ્રેલિયા આવ્યો ત્યારથી દર વર્ષે આવતો. ગુજરાતની સારી વાત એ છે કે તેઓ દુનિયાના ગમે તે ખૂણામાં રહો અને તેમની પોતાની ગુજરાતી સંસ્થા ઊભી કરી દેતા હોય છે. તેઓ ગુજરાતીપણુ સાચવવાનો પૂરતો પ્રયાસ કરે છે અને તેને બીજા દેશમાં પ્રચાર પ્રસાર પણ કરે છે. ગુજરાતીઓ ભાગ્યે જ પોતાની સંસ્કૃતિ ભૂલતો હોય છે. કેન્યામાં એલડોરેટમાં પટેલ સમાજનો પ્રેસિડન્ટ હતો. અમારી પોતાની બિલ્ડિંગ, કલ્ચરલ પ્રોગ્રામ્સ માટે પણ બિલ્ડિંગ હતી. અમે રોજ મળતા અને તમામ બાળકોથી મોટેરા સહિતના સ્પોર્ટ્સ રમતા. પર્થમાં પણ ગુજરાતી સમાજ છે. હવે ત્યાં 8-9 મંદિરો છે. મંદિરમાં વિવિધ કાર્યક્રમો થાય છે. બાળકોને ગુજરાતી શીખવવામાં આવે છે. તમે નહીં માનો મને ગુજરાતી શિરોમણી અવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. મારા બંને બાળકો કડકડાટ ગુજરાતી બોલે છે. દીકરો નીરવ આઇટી ગ્રેજ્યુએટ છે અને તે ક્વોલિટી પ્રેસનો બિઝનેસ સંભાળે છે. દીકરી ફિઝિયોથેરપિસ્ટ છે અને ઇંગ્લેન્ડમાં NHSમાં કામ કરે છે.' 'ગુજરાતનો વિકાસ થયો છે'ગુજરાતના વિકાસની વાત કરતા રમેશભાઈ જણાવે છે, '180 ડિગ્રીના વળાંક સાથે ભારત ને ગુજરાતનો વિકાસ થયો છે. એક સમયે ગામડામાં માંડ બે-ત્રણ કાર ને બે-ત્રણ બાઇક હતા. અત્યારે અમારા ઉત્તરસંડામાં રોડ ક્રોસ કરવો હોય તો આજુબાજુ જોઈને કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉત્તરસંડા સાવ નાનકડું ટાઉન છે અને ત્યાં હવે આ હદે ગાડીઓ થઈ ગઈ છે. ખેતી, પશુપાલન પરની ડિપેન્ડેન્સી હવે ઘણી જ ઓછી છે. ભારત-ગુજરાતમાં અઢળક મિત્રો છે. ઇન્ડિયામાં 4-5 મહિના રહીએ છીએ. રિટાયર્ડ તો બહુ પહેલેથી થયો હતો, પરંતુ કામ ફરી ફરીને મારી પાસે આવી જતું. એકાદ બે વર્ષથી સંપૂર્ણ રિટાયર્ડ લાઇફ જીવું છું. કામ હોય તો બોલાવે. હું જાતે નહીં આવું. તેમને મારી જરૂર હોય તો બોલાવે છે. મિત્રો સાથે મળીએ છીએ. ભાઈની ફેક્ટરીએ જાઉં. ભારતમાં વિવિધ જગ્યાએ ફરીએ, વિદેશી પ્રવાસો કરીએ. મને ક્યારેય એવું નહીં થતું કે હવે શું કરવું. મારી સ્કૂલ લાઇફ, મિત્રો, ભારતની જેમ ગમે ત્યારે ગમે તેના ઘરે જઈને મળી ન શક્યા... આ બધું મિસ કરું છું. શેરીઓમાં ફરવાની વાત અહીંયા છે, વિદેશમાં નથી. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં પ્રેશરમાં કેવી રીતે કામ કરવું તે શીખવવામાં જ આવતું નથી. તકોને ઓળખતા તથા એડવેન્ચરસ એટીટ્યૂડ શીખવવામાં આવતો નથી. કામ કરે જા, પરિણામની આશા ન રાખીશ. ઘણા એવું માની લે છે કે ભગવાન બધું કરી દેશે, પરંતુ તે પરિણામ આપે, મહેનત તો આપણે જ કરવી પડે.'
તિરાડો પડતા સુભાષ બ્રિજ બ્રિજ ભલે બંધ કરવામાં આવ્યો પણ હજુ ઘણાં બ્રિજ બંધ થવાની લાઇનમાં છે. જુલાઈ,2025માં બ્રિજ કન્સલ્ટન્ટ પંકજ.એમ.પટેલ અને અન્ય એજન્સી દ્વારા અમદાવાદ શહેરના 69 રેલવે અને ફ્લાય ઓવરબ્રિજનું પણ ઇન્સ્પેક્શન કરાયું હતું. બ્રિજ કન્સલ્ટન્ટના ઇન્સ્પેક્શન રિપોર્ટમાં શહેરના કેટલાક બ્રિજમાં ખામી હોવાનું અને તેમાં રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે. સુભાષ બ્રિજની ઘટના બાદ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આ રિપોર્ટ જાહેર કર્યા હતા. શહેરમાં જે 69 બ્રિજનું ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટનું દિવ્ય ભાસ્કરે એનાલિસિસ કર્યું હતું અને તેમાંથી ગંભીર રીતે 4 ક્ષતિગ્રસ્ત બ્રિજની વિગતો સામે આવી હતી. સુભાષબ્રિજ બંધ થતાં શહેરના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિતલાલ મજૂમદારબ્રિજ કે જેની ઉપરથી હવે સૌથી વધારે વાહનોની અવરજવર વધી છે તે બ્રિજમાં પણ ખામી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિજને તોડીને નવો બનાવવાનો રિપોર્ટ હોવા છતાં તંત્ર જાણે કે કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ સમારકામ કરતું નથી. વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલમાં વડાપ્રધાન મોદીએ જે ગુરુજી ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું તેનો રોડ બેસી ગયો છે અને તિરાડો જોવા મળી રહી છે. અધિકારીઓએ ઇન્સ્પેક્શન રિપોર્ટ છુપાવ્યો ને સત્તાધીશોએ માગ્યો નહીંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ જુલાઈ મહિનામાં જે રિપોર્ટ આપ્યો હતો તે રિપોર્ટ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં અથવા સ્ટેન્ડિંગ કમિટીમાં જાહેર કરાયો નથી. જેથી બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ પણ આ ઇન્સ્પેક્શન રિપોર્ટ છુપાવ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે. તો સામે પક્ષે ભાજપના સત્તાધીશોએ પણ બ્રિજના ચોમાસા પહેલાના રિપોર્ટ માગ્યા નથી. કોઈ પણ રિપોર્ટ કમિટી સમક્ષ મૂકાયો નથી: જયેશ પટેલરોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં આવેલા અલગ અલગ બ્રિજોના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તેમને બે દિવસ પહેલા આપવામાં આવ્યા છે. ચોમાસા પહેલા જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જુલાઈ મહિનામાં તેના રિપોર્ટ જાહેર થયા છે તેની કોઈ માહિતી જે તે સમયે આપવામાં આવેલી નથી. માત્ર ઔપચારિક રીતે બ્રિજમાં નાના રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે એવું જણાવ્યું હતું, પરંતુ કોઈ પણ રિપોર્ટ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યો નથી. પરીક્ષિતલાલ બ્રિજના બધા સ્પાનના સોફિટ સ્લેબ-ગર્ડરમાં તિરાડોબ્રિજ કન્સલ્ટન્ટ પંકજ.એમ.પટેલ દ્વારા જુલાઈ મહિનામાં કરવામાં આવેલા બ્રિજ ઇન્સ્પેક્શનમાં વાડજના પરીક્ષિતલાલ મજૂમદાર બ્રિજ જે વર્ષ 1968માં બનાવવામાં આવેલો છે તેના સ્લેબમાં તિરાડ પડેલી જોવા મળી છે. બ્રિજની નીચેના ભાગે સ્લેબમાં તિરાડ પડેલી છે. દિવાલને પણ મજબૂત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બધા સ્પાનના સોફિટ સ્લેબ અને ગર્ડરમાં તિરાડો જોવા મળે છે. આખા બ્રિજને મજબૂત કરવાનો અથવા નવો બનાવવાનો રિપોર્ટતિરાડોને ઇપોક્સી મોર્ટાર/રેઝિનથી પ્રેશર ઇન્જેક્શન દ્વારા રિપેર કરવા માટે જણાવ્યું હતું.જે ચણતર કરવામાં આવ્યું છે તેમાં સાંધા બંને એબટમેન્ટ્સ પર ખુલ્લા છે અને પાંખની દિવાલ અને પ્લાસ્ટર ઉખડી ગયું છે, તેથી મજબૂત કરવું જરૂરી છે. આખા બ્રિજને મજબૂત કરવાનો અથવા તો તેને નવો બનાવવા માટેનો જ રિપોર્ટ બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવ્યો છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના રીપેરીંગની કામગીરી આ બ્રિજમાં કરવામાં આવેલી નથી. બ્રિજને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવાની જરૂરિયાતવાડજના પરીક્ષિતલાલ મજૂમદાર બ્રિજ ઉપર હવે સૌથી વધારે વાહનોનો લોડ રહેશે. કારણ કે સુભાષબ્રિજ બંધ થવાના કારણે આ રોડ ઉપરથી એએમટીએસ અને ગુજરાત એસટી બસ સહિતના મોટાભાગના વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે આ બ્રિજને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બ્રિજના નીચેના ભાગે સળિયા દેખાય છે અને તિરાડો પણ પડેલી છે ત્યારે આ બ્રિજમાં મજબૂતાઈ કરવી જરૂરી બની છે. મોદીએ ઉદ્ઘાટન કર્યું તે બ્રિજનો એક સ્પાનનો ભાગ અંદર બેસી ગયોશહેરના મણિનગર વિસ્તારમાં આવેલા ગોરના કુવા પાસે વર્ષ 2009માં બનાવવામાં આવેલા ગુરુજી રેલવે ઓવરબ્રિજમાં પણ બ્રિજ ઇન્સ્પેક્શન દરમિયાન ખામી હોવાનું સામે આવ્યું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે 16 વર્ષમાં જ બ્રિજમાં મોટી ખામી જોવા મળી છે. આ બ્રિજમાં તિરાડો જોવા મળી છે. બ્રિજનો રોડ બેસી ગયેલો અને સળિયા પણ ઉખડી ગયેલા જોવા મળ્યા છે. બ્રિજના વચ્ચેના ભાગેથી નીચેનો ભાગ દેખાય છે. ગુરુજી રેલવે ઓવરબ્રિજમાં રીપેરીંગની જરૂરિયાત હોવા છતાં કરાયું નથીગુરુજી રેલવે ઓવરબ્રિજના બોક્સ ગર્ડરમાં નાની તિરાડો પડેલી સામે આવી છે. બ્રિજમાં મોટું નુકસાન અને તેને લાંબા સમય સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા અંગેનો બ્રિજ ઇન્સ્પેક્શનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે છતાં પણ આ બ્રિજમાં કોઈપણ પ્રકારની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલી નથી. આ બ્રિજમાં રીપેરીંગની જરૂરિયાત હોવા છતાં પણ હજી સુધી રીપેરીંગ કરવામાં આવ્યું નથી. સરદારબ્રિજમાં ગાબડા અને તિરાડોમણિનગર વિસ્તારમાં આવેલા નાથાલાલ ઝઘડા ઓવરબ્રિજમાં પણ રીપેરીંગ કરવા અંગે ઇન્સ્પેક્શન રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે જેમાં પેડેસ્ટ્રીયન, રેલીંગ, ગર્ડર અને બેરિંગ રીપેરીંગ કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાબરમતી નદી પર આવેલા સરદારબ્રિજમાં પણ તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે. બ્રિજમાં ગાબડા પડ્યા અને તિરાડો પડેલી હોવા છતાં તેને હજી સુધી રીપેરીંગ કરવામાં આવ્યો નથી. આ બ્રિજમાં ગર્ડરમાં પણ રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રિજમાં પણ બાજુની દીવાલમાં તિરાડશહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલો ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રિજમાં પણ બાજુની દીવાલમાં તિરાડ પડેલી જોવા મળી છે. દિવાલ ઉપરાંત ગર્ડરના સ્લેબ અને જાળાના ખોખા અંદરના ભાગે પણ નુકસાન થયેલું જોવા મળ્યું છે. કેટલીક જગ્યાએ વચ્ચેના ભાગે કાટમાળ પણ જોવા મળ્યો છે. શહેરના મહાત્મા ગાંધી ઓવરબ્રિજ અને સરદારબ્રિજ ઉપર પણ બેરિંગ બદલવાની જરૂરિયાત હોવા અંગેનો રિપોર્ટ કરવામાં આવ્યો હોવાથી બંને બ્રિજમાં રીપેરીંગ કામગીરી કરવામાં આવી છે. નહેરુબ્રિજના કેન્ટીલીવરમાં ખામી અને સબ સ્ટ્રક્ચર ઠીકઠાકનહેરુબ્રિજના ઇન્સ્પેક્શન દરમિયાન રિપોર્ટમાં બ્રિજના કેન્ટીલીવરમાં ખામી હોવાનો અને બ્રિજનું સબ સ્ટ્રક્ચર ઠીકઠાક હોવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં સિલ્વર સ્ટારથી ચાણક્યપુરી તરફ જવાના અને ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજમાં પણ સરફેસ ખરાબ થઈ હોવાનું તેમજ વાહનો પસાર થતા હોવાના કારણે બ્રિજમાં ભારે અસર થઈ છે. આ પણ વાંચો: અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના સ્પાનનો ભાગ બેસી ગયો
12 જૂન, 2025આ એ તારીખ છે જેણે અમદાવાદનું નામ ભયાનક પ્લેન દુર્ઘટનાઓના ઇતિહાસમાં કાળા અક્ષરે લખી દીધું હતું. એર ઇન્ડિયાની ફ્લાઇટ નં.171ને નડેલા અકસ્માતને જોતજોતામાં આજે 6 મહિના થઇ ગયા છે પરંતુ પીડિત પરિવારોની આંખમાંથી આંસુ હજી સૂકાયા નથી. આ દુર્ઘટનાના 6 મહિનામાં શું-શું થયું, તપાસ ક્યાં પહોંચી અને મૃતકોના પરિવારોને કેટલું વળતર મળ્યું? આ સવાલો થાય તે સ્વભાવિક છે. જેના જવાબો અમે તમને જણાવીશું. AC, ફ્રિજ, ખુરસીઓ ઓગળી ગયા, બળેલી ઢીંગલી જોઈને ધ્રાસકો પડે, પ્લેન ક્રેશ સાઇટની અંદરનાં દૃશ્યો જોવા અહીં ક્લીક કરો પ્લેન ક્રેશ બાદની તપાસમાં ગુજરાત પોલીસ સહિત દેશ વિદેશની કુલ 9 એજન્સીઓ જોડાઇ છે. મુખ્ય તપાસ ભારતની એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) કરી રહી છે. જેમાં અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને UKની એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ પણ મદદ કરી રહી છે. AAIBએ જે પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો તેમાં એવો ઉલ્લેખ હતો કે વિમાનના ઇંધણનો પુરવઠો બંધ થઇ જવાથી દુર્ઘટના ઘટી છે. જો કે હજુ AAIBનો ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે. પ્લેન ક્રેશનો મામલો ભારત અને અમેરિકા એમ 2 દેશની કોર્ટમાં પહોંચ્યો છે. 130 પરિવારે અમેરિકામાં કેસ કર્યોપ્લેન ક્રેશના પીડિત પરિવારોમાંથી કેટલાક પરિવારોએ અમેરિકામાં બોઇંગ સામે કેસ કરવા માટે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુને હાયર કર્યા હતા. માઇક એન્ડ્રુની ટીમના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં તેમની સાથે 130 પીડિત પરિવારો જોડાઇ ચૂક્યા છે. પીડિતોના વકીલે અમેરિકામાં કરેલા કેસમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં શું આવ્યું તે અંગે માહિતી માંગી હતી. જેનો જવાબ 1 મહિનામાં મળવાની ગણતરી હતી પરંતુ અમેરિકામાં શટડાઉન ચાલતું હોવાના કારણે હજુ સુધી તેનો જવાબ આવ્યો નથી. સુપ્રીમ કોર્ટમાં અરજી દુર્ઘટનામાં મૃત્યુ પામનારા કેપ્ટન સુમિત સભરવાલના 91 વર્ષીય પિતા પુષ્કર રાજ સભરવાલ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ (FIP)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ કેસમાં સ્વતંત્ર તપાસની માગ કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં કોઈ એવું માનતું નથી કે પાઇલટની ભૂલ હતી. પ્રાથમિક તપાસ રિપોર્ટમાં પણ પાઇલટ સામે કોઇ આરોપ નથી. વિદેશી મીડિયાએ ખરાબ રિપોર્ટિંગ કર્યું છે. 95%થી વધુ પરિવારોને 25 લાખનું વળતર ચૂકવાયુંપ્લેનમાં 229 મુસાફરો ઉપરાંત 12 ક્રુ મેમ્બર્સ હતા. એ સિવાય પ્લેન ક્રેશ વખતે 19 લોકો નીચે જમીન પર હતા. એમ કુલ 260 લોકોના મોત થયા હતા. પીડિત પરિવારોને કેટલું વળતર ચૂકવાયું છે તે જાણવા દિવ્ય ભાસ્કરે એર ઇન્ડિયાના પ્રવક્તા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, એર ઇન્ડિયાએ પીડિત પરિવારોમાંથી 95%થી વધુ પરિવારોને 25 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર આપ્યું છે અને અંતિમ વળતરની પ્રક્રિયા ચાલુ છે. ટાટા ગ્રુપે ટ્રસ્ટમાં 500 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યુંટાટા ગ્રુપે ધ AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ બનાવી તેમાં 500 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. આ ભંડોળમાંથી મૃત્યુ પામનારાના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. 110 પરિવારોને 1 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા છે. જ્યારે 70થી વધુ પરિવારોને 1 કરોડની રકમ ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે.જે રકમ વધે (240 કરોડ રૂપિયા) તે પીડિત પરિવારોને લાંબા ગાળાનો સપોર્ટ મળી રહે તે માટે વપરાશે. જેમ કે બાળકના ભણતર માટે, વૃદ્ધ માતા-પિતાના નિભાવ માટે. મુંબઇમાં તાજ હોટલ પર થયેલા હુમલા બાદ ટાટા ગ્રુપે તાજ પબ્લિક વેલ્ફેર સર્વિસ ટ્રસ્ટ બનાવ્યું હતું. જેની રકમમાંથી દર મહિને અમુક ફંડ મેડિકલ સહાય, પેન્શન, બાળકોના ભણતર, કર્મચારીના પરિવારને અપાય છે. ફાઇનલ પેમેન્ટની રકમ અલગ અલગ હશેઘણા સાથે તો વળતરની ફાઇનલ એમાઉન્ટ માટેની પ્રોસેસ પણ શરૂ થઇ ગઇ છે. દરેક પીડિત પરિવારનું ફાઇનલ પેમેન્ટ અલગ હશે. વળતર માટેની રકમ નક્કી કરવા માટે મૃતકની ઉંમર, બેક ગ્રાઉન્ડ, કમાવાની ક્ષમતા સહિતના ઘણા મુદ્દાને ધ્યાને લેવામાં આવે છે. ધારો કે એક પરિવારમાં 2 મૃતક હોય તો તે પરિવારને 2 કરોડ રૂપિયા ચૂકવાય છે. ઇજાના વળતર માટે શું ધ્યાને લીધું?પ્લેન ક્રેશમાં 70થી વધુ લોકોને ઇજા થઇ હતી. જેમાંથી 85%થી વધુ લોકોને તેમની ઇજા પ્રમાણે અલગ અલગ રકમ અપાઇ છે. ઇજા માટે અલગ અલગ કેટેગરી હોય છે જેથી તેની રકમ પણ અલગ હોય છે. જેમાં મોટાભાગે ઇજા, ખર્ચ, હોસ્પિટલમાં રોકાણ, લોસ ઓફ ઇન્કમ વગેરેને ધ્યાને લેવાય છે. ટાટા અને એર ઇન્ડિયા ઉપરાંત ટાટા ગ્રુપની ઘણી કંપનીઓના કર્મચારીઓ મળી કુલ 600 લોકોની ટીમ આ કામગીરીમાં લાગી હતી. ગુજરાત સરકાર તરફથી CM રિલીફ ફંડમાંથી મૃતકના પરિવારને 4 લાખની રકમ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જેમાંથી 217 પરિવારોને 4 લાખની રકમ મળી છે. જ્યારે 6 લોકોને 50 હજારની રકમ અપાઇ છે. થોડા સમય પહેલાં રસ્તો ખોલી દેવાયોઘટના બની એ દિવસે તમામ મીડિયા ત્યાં હાજર હતું, ત્યારે છેક મેસ અને હૉસ્ટેલના બિલ્ડિંગ સુધી જઇ શકાતું હતું. બીજા જ દિવસે પોલીસ અને અન્ય એજન્સીઓએ તકેદારી લઈને આ કોમ્પ્લેક્સ સુધી પહોંચવાના બે રસ્તાઓ લગભગ 100-200 મીટર સુધી બંધ કરી દીધા હતા ત્યારથી મીડિયાએ બેરિકેડની બહાર જ ઊભી રહીને રિપોર્ટિંગ કર્યું હતું. થોડા સમય પહેલાં ત્યાં હોસ્ટેલ અને મેસ પૂરતી જગ્યા બંધ રાખીને સમગ્ર રસ્તો ખોલી નાખવામાં આવ્યો છે. PI, PSIની પણ બદલીઘટના બાદ ક્રેશ સાઇટ પર પોલીસ કન્ટ્રોલ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જે મેઘાણીનગરના PSI ચાવડા સંભાળતા હતા. એ સમયે મેઘાણીનગરના PI બસિયા હતા. 6 મહિનાના આ ગાળામાં કન્ટ્રોલ સેન્ટર PSI પછી ASI અને બાદમાં કોન્સ્ટેબલને સોંપવામાં આવ્યું. જોકે આખા કોમ્પ્લેક્સની ચારેતરફ સિક્યોરીટી એમને એમ જ હતી. હવે સિક્યોરિટીની જવાબદારી પોલીસ નહીં પણ GISFના હાથમાં છે. PI બસિયાની હાલમાં શહેર કન્ટ્રોલ રૂમમાં જ્યારે PSI ચાવડાની શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બદલી થઇ ગઇ છે.
મોદીનાં સપનાનું ગિફ્ટ સિટી. એ ગિફ્ટ સિટીમાં જમીનની નીચે એવી દુનિયા છે જે હાઇટેક એન્જિનિયરિંગની કમાલ છે. અહીં માણસો નહીં મશીનોનું રાજ ચાલે છે. ગગનચુંબી ઈમારતોની નીચે છૂપાયેલું આ સિક્રેટ શું છે? દિવ્ય ભાસ્કર આપને એ દુનિયા દેખાડશે. તા. 13 ડિસેમ્બર શનિવારે સવારે 6 વાગ્યાથી. તમે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.
મુશ્કેલી:શિક્ષકોના સેલેરી એકાઉન્ટ બદલવાના દબાણથી લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી
કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને તેઓના સેલેરી એકાઉન્ટ બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જો બેન્ક ખાતા બદલવામાં આવે તો લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડે તેમ છે ત્યારે આ મુદ્દે ડીઇઓને લેખિત રજુઆત કરી ધ્યાન દોરવામાં આવ્યું છે. સરકારી માધ્યમિક અને ઉ.માધ્યમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ, અનેક શિક્ષકમિત્રો તરફથી આવેલ ફોન તથા મેસેજોના આધારે જાણી શકાયું કે ઘણા શિક્ષકો હાલમાં જુદી જુદી બેંકોમાં પગાર મેળવે છે અને તેમના હાલના સેલેરી એકાઉન્ટ દ્વારા હોમ લોન, પર્સનલ લોન, કાર લોન તેમજ અન્ય બેંકિંગ સુવિધાઓ મેળવી છે. આવી સ્થિતિમાં બેંક બદલવા બાબતથી શિક્ષકોમાં પ્રશ્નો અને શંકા ઉભી થઈ છે. સામાન્ય સમજ મુજબ વ્યક્તિગત સેલેરી એકાઉન્ટ બદલવા બાબતે કોઈ પણ પ્રકારનું બળજબરીભર્યું દબાણ કરવું વ્યાવહારિક નથી, કારણ કે બેંક બદલવાથી શિક્ષકોના લોન, EMI, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તેમજ લાંબા ગાળાની બેંકિંગ વ્યવસ્થામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વધુમાં તમામ ડેટાઓ કર્મયોગી એપ્લિકેશનમાં પણ અપડેટ થઈ ગયેલ છે. કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રનો હેતુ શિક્ષકો પર ફરજિયાત બેંક બદલવાનો દબાણ કરવાનો નથી, પરંતુ માત્ર એક વધારાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે. તેમ છતાં અમુક સ્થળોએ આ પરિપત્રનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે અને શિક્ષકોને એક્સિસ બેન્કમાં ખાતું ખોલાવવા દબાણ કરવામાં આવી રહ્યું હોય છે.શિક્ષકોને તેમની વ્યક્તિગત વ્યવહારુ પરિસ્થિતિ અનુસાર અનુકૂળ લાગે તે બેંકમાં સેલેરી એકાઉન્ટ રાખવાની સ્વતંત્રતા યથાવત્ રહે તે અંગે સ્પષ્ટતા કરવા માંગ કરવામાં આવી છે. જેથી ગેરસમજ અથવા દબાણની સ્થિતિ ઊભી ન થાય અને શિક્ષકવર્ગને રાહત થશે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર ભુજ દ્વારા નવા પ્રવેશિત 2025–26 બેચના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા બેઠકનું આયોજન કરાયું હતું. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વનિતાબેન મહિડા, અંજારના શાસનાધિકારી મુળજીભાઈ મીંઢાણી, પ્રાદેશિક કેન્દ્રના નિયામક તેમજ અધ્યાપક ડો. ધનરાજભાઇ ગઢવી, પ્રાદેશિક કેન્દ્રના સહ નિયામક શિવરાજસિંહ જાડેજા અને સહ નિયામક શિવાનીબેન ઉમરાણીયા ઉપસ્થિત રહ્યા હતાં. ડો. ધનરાજભાઇ ગઢવી દ્વારા નવા પ્રવેશિત વિદ્યાર્થીઓને ખાસ પ્રવેશ, પરિક્ષા અને પરિણામ તેમજ સમગ્ર શૈક્ષણિક વર્ષની માહિતીથી અવગત કરાયા હતા. સહ નિયામક શિવરાજસિંહે જણાવ્યું કે, BAOUનું ધ્યેય Education for all સાથે કચ્છના દરેક અંતરિયાળ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ પુરૂ પાડીને પોતાનું ધ્યેય સાર્થક કરતી પ્રદેશની પ્રથમ યુનિવર્સિટી છે. સાથે સહનિયામક શિવાનીબેન ઉમરાણીયાએ ઈ- આઇ કાર્ડ તેમજ અસાઇમેન્ટ વિશે માર્ગદર્શન પુરૂ પાડી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વનિતાબેને વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક નવી સફરની શુભેચ્છા પાઠવી હતી મુળજીભાઈએ સૌ યુવાનોને શિક્ષણ રૂપી જ્યાોત જગાવી સમાજ રાષ્ટ્રને ઉપયોગી બનવા આહ્વાન કર્યુ હતુ. કાર્યક્રમની અંતે વિદ્યાર્થીઓને મુઝવતા પ્રશ્નોના જવાબ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં ભુજ પ્રાદેશિક કેન્દ્રના 124 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
હત્યા:દાદુપીર રોડ પર ઘરેલું કંકાસમાં પતિએ ધારિયું મારી પત્નીની કરપીણ હત્યા કરી
શહેરના દાદુપીર રોડ પર સાંજના સમયે હત્યાનો બનાવ બન્યો હતો જેમાં ઘરેલું કંકાસને કારણે ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીને માથાના ભાગે ધારિયાનો ઘા મારતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.હત્યાના બનાવને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ખુદ પોલીસ મથકે હાજર થઇ જતા રાઉન્ડઅપ કરી લેવાયો છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત વિગતો મુજબ કેમ્પ એરિયામાં માંજોઠી મસ્જીદ નજીક રહેતી 25 વર્ષીય અમરીન અલાના પઢિયારની તેના જ આરોપી પતિ ફિરોઝ ઈબ્રાહીમ સીદીએ હત્યા નીપજાવી દીધી હતી.બનાવ ગુરુવારે સાંજે સાત વાગ્યાના અરસામાં બાપાદયાળુ નગરમાં દદુપીર રોડ પર બન્યો હતો.સમગ્ર મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એ.એમ.પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,હતભાગી પત્ની અને આરોપી પતિ વચ્ચે બનતું ન હોવાથી ઘણા સમયથી અલગ રહેતા હતા. એ દરમિયાન ઘર કંકાસના કારણે ઉશ્કેરાયેલા આરોપીએ ધારીયાનો ઘા મારી માથાના ભાગે ઈજા પહોચાડતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.હત્યાના બનાવ બાદ પરિણીતાના મૃતદેહને જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું હતું.જયારે પત્નીની હત્યા નીપજાવનાર આરોપી પતિ ખુદ બી ડીવીઝન પોલીસ મથકે હાજર થયો હતો જેને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો છે.જે મામલે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવા સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

28 C