SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

રિવરફ્રન્ટ ગાય સર્કલે મારૂતિ કારમાં આગ:સદનસીબે કોઈ જાનહાનિ નહીં, કારને મોટું નુકસાન

સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ગાય સર્કલ નજીક એક મારૂતિ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે. આગ લાગવાની ઘટનાને પગલે વાહનચાલકો અને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક એકઠા થઈ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા તેમજ શહેર વિસ્તારમાં ચાલતા વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ બનાવ પણ તે શ્રેણીનો એક ભાગ છે. આગના કારણે મારૂતિ કારને વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 9:14 am

મોરબીમાં વીજધાંધિયાથી રહીશો લાલઘૂમ: બિલમાં 50 ટકા વળતર આપો તો અંધારપટ સહન કરીએ'

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સોઓરડી પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે રોજેરોજ સર્જાતી વીજ સમસ્યાએ રહીશોની ધીરજ ખૂટવી દીધી હતી. છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે આખેઆખો દિવસ વીજળી ગુલ રહેતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ ઉચ્ચ વીજ અધિકારી ડે. એન્જિનિયર અંબાણીને ફોન કરીને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જો તંત્ર વીજળીના બિલમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપતું હોય તો અમે આ અંધારપટ મુંગા મોઢે સહન કરી લઈએ. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, અન્ય વિસ્તારોની જેમ જ અમે પૂરેપૂરું બિલ ભરીએ છીએ તો અમારે જ કેમ વારંવાર વીજ કટોકટીનો સામનો કરવો પડે છે? ભડિયાદ ફીડરમાં વારંવાર થતા ભડાકા અને ફોલ્ટને કારણે બાળકો, વૃદ્ધો અને દર્દીઓની હાલત કફોડી બની હતી. સ્ટાફ પેટ્રોલિંગમાં હોવાના અધિકારીના દાવા છતાં કલાકો બાદ લાઈટ આવી બપોરના ત્રણ વાગ્યાથી લાઈટ ગુલ હોવા અંગે અધિકારી એમ.પી. મહેતાએ જણાવ્યું હતું કે, સ્ટાફ લાઈન પર છે અને પેટ્રોલીંગ કરી પાવર ચાલુ કરાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, અધિકારીના આ જવાબના કલાકો બાદ માંડ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થયો હતો. વીજ ફોલ્ટ સેન્ટરના ઊઠા ભણાવવાથી લોકો પરેશાન‎સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વીજળી ગુલ થયા બાદ જ્યારે ફોલ્ટ સેન્ટરમાં ફોન કરવામાં આવે ત્યારે માણસો લાઈન પર છે, હમણાં પાવર આવી જશે તેવા વાયદા કરીને રીતસરના ઉઠા ભણાવવામાં આવે છે. બે દિવસ પહેલા ભડિયાદ ફીડરમાં ફોલ્ટ સર્જાયા બાદ આખો દિવસ વીજળી રજા પર ઉતરી ગઈ હતી. રહીશોએ અધિકારીને ફરિયાદ કરી હતી કે અન્ય વિસ્તારોમાં વીજળી ચાલુ હોય છે ત્યારે માત્ર અમારા વિસ્તારમાં જ આવી ભેદભાવભરી નીતિ કેમ રાખવામાં આવે છે. PGVCLના અધિકારીના ઉદાસીન વલણ સામે પણ ઉઠ્યા સવાલજ્યારે જાગૃત નાગરિકોએ પાવર જલ્દી ચાલુ કરવા રજૂઆત કરી ત્યારે અધિકારી માત્ર વારંવાર સરનામું પૂછીને જાણી જોઈને વિલંબ કરતા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. સોઓરડી તેમજ સબ જેલ રોડ પર આવેલા વણકર વાસમાં પણ લાંબા સમય સુધી લાઈટ ન આવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીજીવીસીએલની આ ઢીલી નીતિને કારણે ઉનાળાની સિઝનમાં લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:49 am

મોરબીમાં ચેક રિટર્ન કેસ:વેપારીને એક વર્ષની કેદ અને રૂ. 18.88 લાખનો દંડ

મોરબીમાં ચાઈના ક્લેના વેપારમાં આપેલા ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. વેપારી પેઢીના સંચાલકને દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા અને ચેકની મૂળ રકમથી બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ, મોરબીમાં પાટીદાર ટ્રેડિંગ નામની પેઢી ચલાવતા મનીષભાઈ સવજીભાઈ પૈજા પાસેથી 'કેસરી મેનેજમેન્ટ'ના પ્રોપરાઇટર જયદીપ કે. ગોસ્વામીએ રૂ. 9,44,138ની કિંમતનો ચાઈના ક્લે ખરીદ્યો હતો. આ રકમની ચુકવણી માટે આરોપી દ્વારા અલગ-અલગ તારીખના કુલ નવ ચેક આપવામાં આવ્યા હતા. જે ફરિયાદીએ પોતાની ICICI બેંકના ખાતામાં જમા કરાવતા, આરોપીના ખાતામાં પૂરતું ફંડ ન હોવાના કારણે તમામ ચેક પરત ફર્યા હતા. ચેક પરત થયા બાદ પણ નાણાંની ચુકવણી ન થતા, મનીષભાઈએ એડવોકેટ નિકુંજભાઈ કોટક મારફતે મોરબી કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી પ્રશાંત પી. શાહની કોર્ટમાં ચાલી હતી. એડવોકેટ નિકુંજ કોટકની ધારદાર દલીલો અને રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે જયદીપ કે. ગોસ્વામીને કસૂરવાર ઠેરવ્યા હતા. અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ફરિયાદીને વળતર પેટે ચેકની મૂળ રકમથી બમણી એટલે કે રૂ. 18,88,276 ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ચેકની રકમ પર તારીખ 21-08-2016 થી 9 ટકા લેખે વ્યાજ પણ ચૂકવવું પડશે. જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેણે વધુ 90 દિવસની કેદની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ નિકુંજ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા અને કિશોરભાઈ સુરેલા રોકાયા હતા.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:45 am

બેવડી ઋતુનો માર:મોરબીમાં સિઝનલ ફ્લૂ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં ઉછાળો

માર્ચ મહિનાથી શરૂ થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવે જન આરોગ્ય પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આફત બાદ પારો ઊંચકાતા સર્જાયેલી બેવડી ઋતુએ સ્વાસ્થ્યને બાનમાં લીધું છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સીઝનલ ફ્લૂ, શરદી અને વાયરલ કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. માર્ચ અને એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીના આંકડા જોઈએ તો, સીઝનલ ફ્લૂ (ARI) ના કુલ 1021 કેસ નોંધાયા છે. જેમાં માર્ચમાં 884 અને એપ્રિલના માત્ર સાત દિવસમાં 137 કેસનો સમાવેશ થાય છે. આ જ પ્રકારે શરદી-ઉધરસના કુલ 765 કેસ અને ઝાડા-ઉલટીના કુલ 676 કેસ સામે આવ્યા છે. કમોસમી વરસાદને કારણે હવામાં વધેલો ભેજ અને ત્યારબાદની આકરી ગરમી વાયરસના ફેલાવા માટે અનુકૂળ સાબિત થઈ છે. મચ્છરનો ઉપદ્રવ વધ્યો, છતાં ચોપડે મેલેરિયા નિલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ હોવા છતાં આરોગ્ય તંત્રના સત્તાવાર ચોપડે મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી, જે આંકડાઓ સામે શંકા ઉપજાવી રહ્યા છે. ડેન્ગ્યુનો પણ સમગ્ર સીઝનમાં માત્ર 1 કેસ નોંધાયો છે. જોકે, મચ્છરજન્ય બીમારીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધુ હોવા છતાં સરકારી ચોપડે આંકડો શૂન્ય રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ સ્થિતિને નિયંત્રિત કરવા પાલિકા દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:44 am

મહિલાઓ માટે મનોરંજક કાર્યક્રમનું આયોજન કરાયું:મોરબીમાં મહિલાઓએ ‘મ્યુઝિકલ તંબોલા’ની ધમાલ માણી, રોજિંદી વ્યસ્તતા ભૂલી ગૃહિણીઓ સંગીતના તાલે ઝૂમી

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીએ મહિલાઓ માટે ‘મ્યુઝિકલ તંબોલા’ના અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રોજિંદા ઘરકામ અને વ્યવસાયિક વ્યસ્તતામાંથી મુક્તિ મેળવી મહિલાઓ આનંદ-પ્રમોદ કરી શકે તે હેતુથી આ ઈવેન્ટ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરની અનેક મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સંગીતના સુરાવલીઓ વચ્ચે તંબોલાની રમત રમી હતી. ગૃહિણીઓએ ફિલ્મી ગીતો અને મ્યુઝિકના તાલે ઝૂમીને ડાન્સની પણ મજા માણી હતી. સોસાયટીએ મહિલાઓને એક મંચ પર લાવી એકતા અને ઉત્સાહ વધારવાનો સફળ પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુસ્કાન વેલફેર સોસાયટી સાથે વિવિધ રીતે સંકળાયેલા અને સંસ્થાના ઉત્થાનમાં યોગદાન આપનાર સક્રિય સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને આકર્ષક ગિફ્ટ્સ આપવામાં આવી હતી. આ ઉપરાંત મ્યુઝિકલ તંબોલાની રમતમાં વિજેતા બનેલી મહિલાઓને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું હતું કે, ઘરની જવાબદારીઓ વચ્ચે આવા આયોજનો માનસિક તાજગી આપે છે. મ્યુઝિક સાથેની રમતમાં ભાગ લઈને તમામ બહેનોએ તણાવમુક્ત વાતાવરણનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમના આકર્ષણો‎

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:43 am

ઢોર પકડવાનું અભિયાન હાથ ધરાયું:દાળમીલ રોડ, જોરાવરનગર, 80 ફૂટ રોડ ઉપરથી 30 રખડતા ઢોર પક્ડયા

સુરેન્દ્રનગરમાં રખડતા પશુનો ખુબ મોટો ત્રાસ છે. તેમાં પણ આખલાઓ જ્યારે સામસામે આવી જાય છે ત્યારે અનેક લોકોના જીવનું જોખમ થઇ જાય છે. તેના માટે મનપાએ શહેરમાં ઢોર પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત 30 પશુને પકડીને કૃષ્ણનગર પાણીની ટાંકી પાસે પશુને રાખવામાં આવ્યા હતા. રખડતા પશુને પકડવા માટે અલગ જ ટીમની વ્યવસ્થા કરી છે. આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2258 પશુને પકડવામાં આવ્યા હતા. જે પૈકી 737 પશુને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે હાલના સમયે 604 પશુનો મનપા નિભાવ કરી રહ્યું છે. કારણ કે પાંજરાપોળમાં પણ પશુની સંખ્યા વધી જવાને કારણે હવે પાંજરાપોળ પશુ સ્વીકારવાની ના પાડી રહી છે. આવા સમયે જે વિસ્તારના લોકોની ફરિયાદ આવે છે તે વિસ્તારમાંથી મનપા પશુ પકડવાની કાર્યવાહી કરી રહ્યું છે. મંગળવારના દિવસે મનપાની ટીમ દ્વારા શહેરના દાળમીલ રોડ, જોરાવરનગર અને 80 ફૂટના રોડ ઉપરથી 30થી વધુ પશુને પકડવામાં આવ્યા હતા. પશુની ફરિયાદમાં ઘટાડો પણ કૂતરાની ફરિયાદ વધી ગઇ સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ જ છે. દરરોજ 5થી 7 ફરિયાદ પશુની આવતી હતી જેમાં ઘટાડો થયો છે. પરંતુ બીજી બાજુ રખડતા કૂતરાની ફરિયાદો વધી ગઇ છે. આના માટે મનપાએ અમદાવાદની એજન્સીને સર્વે કરવાની કામગીરી સોંપી છે. સર્વે બાદ કૂતરાને રસી અને ખસીકરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:34 am

વાહનચાલકોને હાલાકી:શહેરમાં SBI બહાર ગ્રાહકો માટે પાર્કિંગ નથી, બહાર મૂકેલા વાહનોને પોલીસ દંડે છે

સુરેન્દ્રનગર શહેરના આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સામે આવેલી ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. આ ચોકડીના કોર્નર પર જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આવેલી હોવાથી અહીં ગ્રાહકોની ભારે અવરજવર રહે છે, પરંતુ પાર્કિંગના અભાવે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરની આર્ટસ કોલેજ ચોકડી પાસે આવેલી એસબીઆઈ બેંકમાં રોજના મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે. બેંક પાસે પૂરતી પાર્કિંગ જગ્યા ન હોવાથી ગ્રાહકો વાહનો રોડની આજુબાજુ જ પાર્ક કરે છે. જેથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. રોડ પર આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા અહીં દંડની કાર્યવાહી કરાય છે. ખોટી રીતે પાર્ક કરેલા વાહનોને દંડ ફટકારવામાં આવે છે. આમ વાહન પાર્કિંગના અભાવે ગ્રાહકોને ભોગ બનવું પડે છે. બેંકના પાર્કિંગ આગળ આડસો મૂકેલી બેંક આગળ પાર્કિંગની સુવિધા છે. પરંતુ આ વ્યવસ્થા જાણે બેંકના કર્મચારીઓ કે અન્ય લોકો માટે હોય તેમ પાર્કિંગ આગળ જ આડસો મૂકી દેવામાં આવતી હોવાની પણ લોકોમાં રાવ ઉઠી છે. જેના કારણે ગ્રાહકો પોતાના વાહનો આ પાર્કિંગ સ્થળે પણ લઇ શકતા નથી.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:31 am

SOG ટીમે શહેરની 10થી વધુ હોટલોમાં ચેકિંગ કર્યું‎:માતા પિતાની મંજૂરી વિના સગીરને રૂમ ન આપવા હોટલોને તાકીદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે. જેને કારણે ખાસ કરીને પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. શાંતિપૂર્વક ચૂંટણી યોજાય તે માટે શહેરમાં પેટ્રોલિંગ સહિતના કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એસઓજી ટીમ દ્વારા શહેરમાં આવેલી 10થી વધુ હોટલોમાં ચેકિંગ કર્યું હતું. માલિકોને ખાસ સૂચના આપી હતી કે કોઇ પણ સગીરને તેના માતા પિતાની પરવાનગી વગર રૂમ ભાડે ન આપવી. ચૂંટણી સમયે ભાંગફોડીયા તત્વો હોટલનો સહારો લઇને કયારેક ગુનાઓ આચરતા હોય છે. આ ઉપરાંત કેટલાક હોટલના માલિકો રજિસ્ટરમાં રૂમ રાખનારની એન્ટ્રી પણ નથી કરતા હોતા. આવી બાબતી ગંભીરતાને ધ્યાને લઇને એસઓજીની ટીમ દ્વારા શહેરમાં આવેલી 10થી વધુ હોટલોમાં રોકાયેલા લોકો કોણ છે, તેમના નામની એન્ટ્રી છે કે નહીં આ ઉપરાંત હોટલમાં કોઇ સગીર વ્યકિતને કામે રાખવામાં નથી આવ્યો ને તેની પણ તપાસ કરવામાં આવી હતી. જ્યારે હોટલમાં સીસીટીવી ચાલુ હાલતમાં છે કે નહીં તેની પણ જાણકારી મેળવી હતી. 1 મહિનાના સીસીટીવી ફૂટેજ ફરજિયાત સ્ટોર રાખવા તાકીદ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:30 am

ઉનાળું વાવેતર:30 દિવસમાં ઉનાળુ વાવેતરમાં 30560 હેક્ટરમાં વધારો થયો‎

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ કમોસમી વરસાદના કારણે અને પછી શિયાળુ વાવેતર મોડુ થતા ખેડૂતોએ આ વર્ષમાં માર્ચ માસના મધ્ય સુધીમાં 8008 હેક્ટરમાં વાવેતર કર્યું હતું. ત્યારે એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં 38568 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ 30 દિવસમાં 30560 હેક્ટરમાં વાવેતરમાં વધારો થયો છે. તલ, શાકભાજી, બાજરી, મગ, મગફળી ગમગુવાર સહિતના પાકમાં વાવેતર વધ્યું છે. પરંપરા ગતથી હટકે ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળી રહ્યા છે. જિલ્લામાં દર વર્ષે ઉનાળુ પાકમાં એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં એવરેજ 33820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવે છે. જેમાં જિલ્લામાં ચોમાસામાં પાછોતરો કમોસમી વરસાદ થતા અને ખેડૂતોએ પાક નુકશાની વળતર માટે બગડેલો પાક રખવો પડતા શિયાળુ વાવેતર મોડુ થયું હતું. જે ઉનાળુ સિઝન શરૂ થવા સુધી ખેતરમાં પાક રહેતા આ વર્ષે ઉનાળુ પાકની વાવેતરની ધીમી શરૂઆત થઇ હતી. જિલ્લામાં એવરેજ 27710 હેક્ટરમાં વાવેતર ઉનાળુ માર્ચના મધ્યે થઇ જતું હોય છે. આ વર્ષ માર્ચ માસ અડધો વિત્યો પણ વાવતેર 8008 હેક્ટરમાં જ થયું હતું. ગત વર્ષની સરખામણીમાં તો ગત વર્ષ માર્ચના મધ્યે 10093 હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ માર્ચ મધ્ય સુધીમાં 2085 હેક્ટરમાં ઓછુ વાવેતર થયું હતું. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સંભવિત વરસાદને ધ્યાને રાખીને ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે કાપણી કરેલ પાક જો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા ખેતીવાડી અધિકારી એમ.આર. પરમારે જણાવ્યું છે. કમોસમી વરસાદ થાય તો પિયત ન આપવુંઉનાળુ પાકનું વાવેતર વધવાનું કારણ નર્મદાનું પાણી મળતા અને યાંત્રીક ખેતી વધી એક પાક નિકળતા તરત બીજો પાક લેવાની ખેડૂત ખેતી કરે છે. ઉનાળુ પાકમાં રોગચાળો ન થવાથી ઉત્પાદન સારું મળે તે મુખ્ય કારણ હોય શિયાળુ ચોમાસુ પાક કરતા વધુ ઉત્પાદન મળે છે. આથી વધારે વાવેતર થયું છે. હાલ વાતાવરણમાં પલટો થયો હતો પરંતુ તેનાથી નુકસાન થાય તેમ નથી. પાકમાં નિયમિત પિયત આપતા રહેવું જોઇએ.- જનકભાઇ કલોત્રા, નિવૃત ખેતીવાડી અધિકારી

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:26 am

નવા ટર્મિનલનું કામ પુરજોશમાં:મુન્દ્રા એરપોર્ટથી ચાલુ માસના અંત સુધીમાં વિમાની સેવાનો થશે પ્રારંભ

મુન્દ્રા ખાતે આવેલું પ્રાઈવેટ એરપોર્ટ હવે જાહેર જનતા માટે ખુલ્લું મુકવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. ચાલુ માસના અંત સુધીમાં અહીંથી નિયમિત ફ્લાઈટ્સ શરૂ કરવાનું આયોજન કરાયું છે. હાલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે નવા ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રોજની ચાર ફ્લાઈટ્સની અવરજવરને પહોંચી વળવા માટે પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થા, પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા તપાસ માટેની સિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટાર એર દ્વારા મુન્દ્રાથી મુંબઈ, સુરત, દિલ્હી અને ગોવા એમ ચાર અલગ-અલગ રૂટ પર 78 સીટરના વિમાનો ઉડાડવામાં આવશે. આ સેવાઓ માટેનું અંદાજિત ભાડું 5 હજારની આસપાસ રહેવાની સંભાવના છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સુરક્ષા સહિતની તમામ ટેકનિકલ બાબતોનું નિરીક્ષણ કરાયું છે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓને સીધી હવાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે. સ્ટાર એર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ 25 એપ્રિલથી સેવાનો આરંભ થશે, જેમાં મુંબઇથી 12:45 કલાકે ફ્લાઇટ ઉડાન ભરી 14:15 કલાકે મુન્દ્રા અને મુન્દ્રાથી 14:45 કલાકે ઉડાન ભરી 16:15 કલાકે મુંબઇ પહોંચાડશે. સોમ, મંગળ, બુધ, ગુરૂ અને શનિવારે સેવાનો લાભ મળશે, જ્યારે મુન્દ્રાથી હિડન (દિલ્હી)ની ફ્લાઇટ બપોરે 13:45ના ઉપડી 15:45ના પહોંચાડશે, જ્યારે રીટર્નમાં 16:15ના ઉપડી 18:15ના મુન્દ્રા પહોંચાડશે, જેનો લાભ મંગળ અને બુધવારે મળશે, જ્યારે ગુરૂવારે મુન્દ્રાથી 10:45થી 12:45 અને હિડનથી 13:15થી 15:15નો મુસાફરી સમય રાખવામાં આવ્યો છે. જ્યારે સુરતથી બપોરે 3:15 કલાકે ઉપડી 4:35ના મુન્દ્રા પહોંચશે. આ ફ્લાઇટ સોમ, મંગળ, બુધ, શુક્ર અને રવિના ઉપડશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:20 am

રક્તદાન શિબિરમાં 213 યુનિટ એકત્ર થયું:આપણું રક્ત અજાણ્યાને જીવન આપે એ શ્રેષ્ઠ દાન

ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકો અને નીરવ માણેક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત છઠ્ઠા રક્તદાન શિબિરમાં 213 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. દીપ પ્રાગટ્યમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો, ભુજ મહાજન પ્રમુખ મુકેશભાઈ ચંદે, વાગડ રઘુવંશી પરિવાર પ્રમુખ રમેશભાઈ મજેઠીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સંઘચાલક હિંમતસિંહ વસણ, વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી, શંકરભાઈ માણેક, યુવક મંડળ પ્રમુખ ભાવેશભાઈ ઉદેચા જોડાયા હતા. સંતો અને મહેમાનોનું સ્વાગત વાગડ રઘુવંશી પરિવારના હિતેશ મજેઠીયા, નીતિન ભીંડે, ધીરજલાલ રતાણી, રતિલાલ રૈયા, નરેન મીરાણી, સાવન પુજારા, કેતન પુજારા વગેરેએ કર્યું હતું. બીએપીએસ ભુજ મંદિરના પરમચૈતન્ય સ્વામીએ આશિર્વચન આપ્યા હતા. પ્રમુખ મુકેશ ચંદેએ કહ્યું કે આપણું રક્ત કોને જીવનદાન આપશે તે ખ્યાલ આવતો નથી એટલે એ શ્રેષ્ઠ ગુપ્ત દાન છે. હિંમતસિંહ વસણે પંચ પરિવર્તનના પાંચ બિંદુ પૈકીના સ્વબોધનું મહત્વ સમજાવ્યું હતું. અખિલ કચ્છ લોહાણા મહાજન પ્રમુખ સુરેશભાઈ ઠક્કર, અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ચંદે, મહામંત્રી દિનેશભાઈ રાજદે, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ પ્રમુખ રાજેશભાઈ પલણ વગેરેએ રક્તદાતા અને આયોજકોને બિરદાવ્યા હતા. અગાઉ પણ તમામ રક્તદાન શિબિરોમાં 200થી વધુ યુનિટનું એકત્રીકરણ થયું છે. જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કના દર્શન રાવલ અને જીવન જ્યોત બ્લડ બેંકના રમણીક પટેલના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે સેવા આપી હતી. કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શિશુવાટીકા અને એન્કરવાલા વિદ્યાધામના આચાર્યોએ શાળાના પ્રધાન આચાર્ય વર્ષાબેન ઠક્કરના માર્ગદર્શનમાં રજિસ્ટ્રેશનમાં સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટના જયસુખ માણેક, વાગડ રઘુવંશી પરિવાર, વાગડ રઘુવંશી યુવક મંડળ અને મહિલા મંડળના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. દરેક સમાજના મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આભારવિધિ હાર્દિક ઠક્કર અને સંચાલન હિતેશ ઠક્કરે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:08 am

કચ્છ જિલ્લામાં ચુંટણીનો જંગ હવે જામ્યો:3 દી’માં 1485 ફોર્મ ઉપડ્યા, ભાજપ-કોંગ્રેસ આજે ઉમેદવારો જાહેર કરશે

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 498 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાની પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ સ્તરે કુલ 1186 જેટલા ફોર્મનો ઉપાડ થયો છે. જ્યારે બુધવારે 6 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવીને પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. આપ અને અપક્ષ ઉમેદવારોએ મેદાનમાં ઉતરી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે, જ્યારે મુખ્ય પક્ષો એવા ભાજપ અને કોંગ્રેસમાં હજુ મંથન ચાલી રહ્યું છે. આજે બંને પક્ષો દ્વારા મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 10 અને 11 એપ્રિલના રોજ આ ઉમેદવારો પક્ષના મેન્ડેટ સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ગાંધીધામ મહાનગરપાલિકાની 52 બેઠક માટે 302 ઉમેદવરોએ ફોર્મ ઉપાડ્યા છે, જયારે કચ્છની 5 નગરપાલિકાઓની 172 બેઠકો માટે 574, કચ્છ જિલ્લા પંચાયતની 38 સીટ માટે 127 અને કચ્છની 9 તાલુકા પંચાયતોની 186 બેઠકો માટે 455 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ 500થી વધુ ફોર્મ ઉપાડ્યા છે. જયારે અન્ય ફોર્મ અન્ય પાર્ટીઓ થતા અપક્ષના ઉમેદવારોએ લીધા હોવાનું સામે આવ્યું છે. કચ્છ જિલ્લામાં ચુંટણીનો જંગ હવે જામ્યો મનપા અને જિલ્લા-તાલુકાની 448 બેઠક માટે જંગ

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:06 am

કચ્છ ડિવિઝનમાં 66% સ્ટાફની અછત મુદ્દે રજૂઆત:જૂનાગઢમાં પોસ્ટ કર્મચારીના રાજ્ય અધિવેશનમાં કચ્છ જિલ્લાના પ્રશ્નો ગાજ્યા, ઉકેલની માંગ કરાઇ

જૂનાગઢ ખાતે ભારતીય પોસ્ટલ એમ્પ્લોયઝ એસોસીએશન ગ્રુપ-સીની 18મી સર્કલ કોન્ફરન્સ બે દિવસ માટે યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં ગુજરાત સર્કલના વડા ચીફ પોસ્ટ માસ્તર શ્રીગણેશ સાવલેશ્વરકર અને કચ્છ-સૌરાષ્ટ્રના પોસ્ટ માસ્તર જનરલ પવનકુમાર દાલમીયા સહિત દિલ્હી અને ગુજરાતના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કચ્છ ડિવિઝનના પ્રતિનિધિઓએ જિલ્લામાં ચાલી રહેલી સ્ટાફની ગંભીર અછત અને કર્મચારીઓની આર્થિક વિસંગતતા મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી. અધિવેશનમાં કચ્છ ડિવિઝનના પ્રતિનિધિઓએ સેક્રેટરી જનરલ અનંતકુમાર પાલ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ મુજબ કચ્છ ડિવિઝનમાં મંજૂર થયેલા સ્ટાફની સામે માત્ર 66% જેટલો જ સ્ટાફ ઉપલબ્ધ છે. આટલી મોટી અછતને કારણે કાર્યરત કર્મચારીઓ પર કામનું ભારણ અસહ્ય રીતે વધી રહ્યું છે. સ્ટાફ ઓછો હોવાને કારણે કર્મચારીઓને પૂરતી રજાઓ પણ મળતી નથી, જેની સીધી અસર ટપાલ અને બેંકિંગ સેવાઓ પર પડી રહી છે. કર્મચારીઓના પ્રમોશન અને MACP-1 તથા MACP-2 સ્વીકારવામાં પ્રવર્તતી ટેકનિકલ વિસંગતતાઓનો મુદ્દો પણ આ સભામાં ઉઠાવવામાં આવ્યો હતો. આ ખામીઓને કારણે અનેક કર્મચારીઓએ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કચ્છના યુનિયન પ્રતિનિધિઓએ આ પ્રશ્નો ડાયરેક્ટર લેવલ સુધી લઈ જઈને તાત્કાલિક નિરાકરણ લાવવા દિલ્હીના પ્રતિનિધિઓ પર ભાર મૂક્યો હતો. આ કોન્ફરન્સમાં કચ્છમાંથી કન્વીનર હર્ષદભાઈ ચાવડા, જોઈન્ટ સેક્રેટરી ધવલભાઈ ઠક્કર, વિરલભાઈ ચૌહાણ અને કેતનભાઈ ગોસ્વામીએ હાજરી આપી કચ્છનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. ડિવિઝન સેક્રેટરી સાહિલભાઈ મલિકે જણાવ્યું હતું કે આગામી સમયમાં કચ્છ ડિવિઝનમાં યુનિયનનું દ્વિવાર્ષિક અધિવેશન યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક પ્રશ્નો પર વધુ મંથન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:02 am

'આ અમદાવાદનું કોઈ ગામ છે કે કચ્છનું રણ':સ્થાનિકે કહ્યું, 5 ફૂટ પાણી ભરાઈ છે, 108 પણ અંદર આવી શકતી નથી; રાણીપમાં કચરો, ટ્રાફિક અને ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત

અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી છે. જેને લઈને આજથી ઉમેદવારી પત્રનું વિતરણ પણ શરૂ કરાયું છે. જુદી જુદી પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યા છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 5 રાણીપના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 'પાંચ ફૂટ પાણી ભરાઈ જાય છે, 108 પણ અંદર આવી શકતી નથી'સ્થાનિક મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા રહીએ છીએ. 30 વર્ષથી આનો આ જ વિકાસ દેખાય છે. કોઈ આમાં ફરક નથી આવતો. શું એવું કારણ છે કે અહીંયા કોઈ પણ વિકાસ નથી થતો?. અહીંયા ચાર ફૂટ, પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. જ્યારે ચોમાસું આવે ત્યારે 108 પણ અહીંયા આવી શકતી નથી. વારંવાર કોર્પોરેશનને અમે રજૂઆત કરવા જઈએ તો કોઈ ધ્યાન પણ નથી દેતા. શું કારણ છે? અમને કોઈ માહિતી મળતી નથી અને આની આ જ પરિસ્થિતિ છે. આ અમદાવાદનું કોઈ ગામ છે કે કચ્છનું રણ. આ ક્યો વિસ્તાર છે? કાંઈ આઈડિયા જ આવતો નથી. વરસાદી પાણી ભરાય છે અને ગટર ઉભરાવાની સમસ્યારાણીપમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની નંદાનગર સોસાયટીના સ્થાનિકો હેમાભાઈએ જણાવ્યું હતું કે, અહીં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. અહીં પાકા રસ્તા નથી અને ગટર ઉભરાવાની પણ સમસ્યા છે. વર્ષ દરમિયાન કોર્પોરેટરો તેઓને મળતા નથી. ચૂંટણી સમય નેતાઓ આવે છે. આ અમદાવાદનું કોઈ ગામ છે કે કચ્છનું ગામ છે તે ખબર પડતી નથી. પાણી, ગટર અને રોડની સમસ્યાથી અહીં સત્તા પરિવર્તન થવું જોઈએ. 'અમારે જાતે ત્રિકમથી તોડીને પાણીનો નિકાલ કરવો પડે છે'સ્થાનિક રામજીભાઈએ કહ્યું કે, હું નંદાનગરમાં રહું છું. અહીંયા આગળ ઘણા સમયથી રોડ, પાણી, લાઈટની ઘણી પ્રકારની સમસ્યાઓ છે પણ કોઈ ધ્યાન દેતા નથી. કોઈ આવીને અમને એમ નથી કહેતું કે તમારે શું હાલ છે ને કેવી પોઝિશન છે, એ પણ અમને કોઈ પૂછવા આવતા નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે એક-બે નેતાઓ આવે ને કહે છે વારંવાર કે અમે કરી આપીશું, કરી આપીશું પણ હજુ આજ સુધી કામકાજ કરતા નથી. રાણીપ વોર્ડમાં પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષકોંગ્રેસના સ્થાનિક નેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાણીપના આઈ.ટી.આઈ પાસે આવેલી ફૂટપાથ નવી જ બનાવવામાં આવી હતી. તેને ટોરેન્ટ પાવર એ ખોદકામ કરીને તોડી નાખી હતી. એક જ મહિનામાં ડામરનો નવો રોડ બનાવીને તેને તોડીને RCCનો રોડ બનાવવામાં આવ્યો હતો. રાણીપ વોર્ડમાં પાણી ભરાવવાની અને ગટરની સમસ્યાઓ છે. અહીંના બકરા મંડી વિસ્તારમાં ખુલ્લામાં પસાર થતા ગટરના પાણીથી ગરીબ લોકો નર્કાગાર સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. 'આ વોર્ડમાં ટ્રાફિકની પણ સમસ્યા છે'તેને વધુમાં કહ્યું કે, એક જ વ્યક્તિને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અણગઢ આયોજન અને ભ્રષ્ટાચાર ઉપરોક્ત વાતો પરથી જણાવી આવે છે. RTI દ્વારા આગામી સમયમાં ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડાશે. આ વોર્ડમાં ટ્રાફિકની પણ સમસ્યા છે. 'ગટર લાઇન નથી, પાણી આવતું નથી'સ્થાનિક કમુબેને જણાવ્યું હતું કે, અહીં કોઈ કોર્પોરેટર ક્યારેય મુલાકાત લેવા આવતા નથી, અને અમે એ પણ નથી જાણતા કે કોર્પોરેટર કોણ છે. ચોમાસામાં રોડ પર પાણી ભરાઈ જવાથી નાના બાળકો પડી જાય છે અને ગટરો ઉભરાવવાની સમસ્યા પણ છે. હવે વિસ્તારની સ્થિતિ સુધારવા માટે પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે. 'મકાન તોડ્યા તેમને નવા મકાન આપવામાં આવ્યા નથી'કોંગ્રેસના રાણીપ વોર્ડના મહામંત્રી ભરત શાહે જણાવ્યું હતું કે, એક કામ કર્યા પછી તેને તોડીને ફરીથી બીજું કામ કરવામાં આવે છે. આમ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. શહેરમાં કોમનવેલ્થનું આયોજન કરવા લોકોના મકાન તોડ્યા છે તેમને નવા મકાન આપવામાં આવ્યા નથી. 'પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ત્રણ નવી પાણીની ટાંકી બનાવાઈ'ગત ચૂંટણીમાં ચૂંટાયેલા દશરથ પટેલે જણાવ્યું હતું કે, ચંદ્રભાગા વહેણના ગંદા પાણીના માર્ગ ઉપર ડક કેનાલ બનાવવાનો 200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં રાણીપ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ત્રણ નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. રાણીપ વોર્ડમાં નિર્ધારિત RCC રોડ પૈકી 98 ટકા કામ પૂર્ણ થયું છે. વોર્ડમાં જીનેશિયમ, લાઇબ્રેરીની વ્યવસ્થાઓ છે. 'કેટલાક કાર્યો પાઇપ લાઇનમાં છે'દશરથ પટેલે કહ્યું કે, કોમ્યુનિટી હોલ બનાવવાનું કાર્ય ચાલુ છે. અહીં ત્રણ તળાવોને રીતે કરાશે અને એક નવું તળાવ બનાવવામાં આવશે. બલોલ નગર ચાર રસ્તાથી પ્રમુખ નગર સુધી વ્હાઇટ ટેપિંગ રોડ બનાવવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ રાણીપમાં આકાર લેવાનું છે. 840 કરોડના વિકાસ કાર્યોમાંથી કેટલાક કાર્યો થયા છે અને કેટલાક પાઇપ લાઇનમાં છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 7:00 am

મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો:કચ્છભરના જર્જરિત રસ્તા સુધારવા નોન પ્લાનિંગ રોડ માટે 141 કરોડ મંજૂર કરાયા

કચ્છ જિલ્લામાં માર્ગ વિકાસને લઈને રાજ્ય સરકાર અને માર્ગ-મકાન વિભાગ તેમજ પંચાયત તંત્ર દ્વારા દર વર્ષે અંદાજે ₹1000 કરોડથી વધુના નવા માર્ગો અને સુધારણા કામો હાથ ધરવામાં આવે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલના ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી તેનાથી એક કલાક પહેલા જ રાજ્ય સરકારે એક સાથે 66 નોન-પ્લાનિંગ રસ્તાઓના કામોને મંજૂરી આપી છે. આ કામો માટે કુલ ₹141.73 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી જાહેરાત ગમે ત્યારે થશે તે નિશ્ચિત હતું, ત્યારે સરકારે પંચાયત વિભાગને આદર્શ આચાર સંહિતા લાગુ પડે તેનાથી એક કલાક પહેલાં જ આ કામોને મંજૂરી આપી દેવામાં આવી હતી. પરિણામે આચારસંહિતા લાગુ થવા પહેલાં જ તમામ કામોને મંજૂરી અને જોબ નંબર ફાળવી દેવાતા આ કામગીરી પર કોઈ પ્રતિબંધ લાગુ પડતો નથી. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્યો દ્વારા લાંબા સમયથી આ રસ્તાઓ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કાચા અને મેટલ રોડને પાકા કરવા માટે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યાં અગાઉ માત્ર મેટલ કામ થયું હતું ત્યાં હવે ડામર રોડ બનાવવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરી વધુ સરળ બની શકે. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ટોપીવાલા એ જણાવ્યું હતું કે તમામ કામોને પૂર્વનિયોજિત પ્રક્રિયા મુજબ મંજૂરી આપવામાં આવી છે, તેથી આચારસંહિતા લાગુ પડતી નથી. તેમણે ઉમેર્યું કે વિકાસના આ કામોનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારોના લોકોને મળશે. તાલુકાવાર જોવામાં આવે તો ભુજ તાલુકામાં સૌથી વધુ 19 કામોનો સમાવેશ થાય છે. જ્યારે માંડવીમાં 3, મુન્દ્રામાં 2, ગાંધીધામમાં 7, રાપરમાં 5, અંજારમાં 12, ભચાઉમાં 1, લખપતમાં 8, નખત્રાણામાં 3 અને અબડાસામાં 6 કામો ફાળવવામાં આવ્યા છે. એકસાથે પંચાયતના 66 રોડ સુધારવા માટે જોબ નંબર ફાળવાયા

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:53 am

પાલીના સાંસદની રજૂઆતને પગલે લેવાયો નિર્ણય:ભુજ-દિલ્હી વાયા પાલી-મારવાડ ટ્રેનને રેલ મંત્રીની લીલીઝંડી

કચ્છથી દેશની રાજધાની દિલ્હી તરફ જતા મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભુજથી દિલ્હી વાયા પાલી-મારવાડને જોડતી નવી ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. રાજસ્થાનના પાલી લોકસભા વિસ્તારના સાંસદ પી.પી. ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે રેલવે મંત્રાલય દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન ક્યારથી શરૂ થશે તે બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી હાલમાં માત્ર મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન સમયમાં ભુજથી દિલ્હીને જોડતી બે ટ્રેનો ભુજ-બરેલી અને દિલ્હી સરાઈરોહિલ્લા ટ્રેન કાર્યરત છે, પરંતુ કચ્છમાં વધતા જતા ઉદ્યોગો અને મોટી સંખ્યામાં તૈનાત સૈન્યના જવાનોને કારણે ઉત્તર ભારત તરફ જવા ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળતી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટ્રેન દરરોજ દોડશે અને તેમાં 22 થી 24 કોચની સુવિધા હશે.ભુજથી સવારે 11.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.45 કલાકે દિલ્હી પહોંચશે. જ્યારે દિલ્હીથી પરત બપોરે 3.30 કલાકે રવાના થઈ બીજા દિવસે સાંજે 4.45 કલાકે ભુજ પરત ફરશે. આ ટ્રેન અંદાજે 1238 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસ દરમિયાન ગાંધીધામ, ભીલડી, જોધપુર, પાલી-મારવાડ, અજમેર અને જયપુર જેવા મહત્વના શહેરોને પણ આ ટ્રેન સેવાનો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:52 am

રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે સર્જ્યો અકસ્માત:સરપટ ગેટ પાસે ટ્રેક્ટરે સાયકલ સવારને કચડ્યા, આધેડનું મોત થતા અરેરાટી

શહેરના સરપટ ગેટ બહાર નાગનાથ મંદિર પાસે બુધવારે સાંજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 45 વર્ષીય આધેડનું કરૂણ મોત નીપજ્યું છે. રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે સાયકલ સવારને ટક્કર મારતા આ બનાવ બન્યો હતો. બી ડીવીઝન પોલીસ સૂત્રો અને હોસ્પિટલ ચોકીમાંથી મળતી માહિતી મુજબ, સુરલભીટ રોડ પર આવેલી મેમણ કોલોનીમાં રહેતા અબ્દુલરઉફ અબ્દુલકાદર મેમણ (ઉં.વ. 45) બુધવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં પોતાની સાયકલ લઈને રાજગોર સમાજવાડી નાગનાથ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોંગ સાઈડ આવી રહેલા ટ્રેક્ટર નંબર GJ 12 FD 8724એ તેમને અડફેટે લીધા હતા. ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, મૃતક એક કુરિયર કંપનીમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી સ્થળ પર લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:52 am

RTO એક્શન મોડમાં:RTO દ્વારા વર્ષમાં 26,441 ચલણમાં 16.53 કરોડનો દંડ ફટકારાયો, 4.58 કરોડની વસૂલાત

રોડ પર વાહન ચલાવતી વખતે વિવિધ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડે છે. ટ્રાફીક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા આરટીઓ કચેરીમાં ચલણ ભરપાઇ કરવા માટે મેમો આપવામાં આવે છે. આ સિવાય આરટીઓ દ્વારા રોડ પર ચેકીંગ દરમ્યાન ડિવાઇસ મારફતે ઓનલાઇન ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાણાંકીય વર્ષ દરમ્યાન 16.53 કરોડના દંડના 26,441 ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. સરકારી ડેટા અનુસાર, કચેરી દ્વારા અત્યાર સુધી કુલ 16.53 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી અંદાજે 4.58 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં સફળતા મળી છે. આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે મેન્યુઅલ પદ્ધતિથી આપેલા ચલણમાં વસૂલાતનો દર ઘણો ઊંચો છે. કુલ 5,534 ચલણમાંથી 5,496 ચલણનો નિકાલ કરાયો છે. જેમાં 2.56 કરોડના કુલ દંડ સામે 2.54 કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ છે. જ્યારે ડિજિટલ ડિવાઇસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં હજુ મોટી રકમ બાકી છે. કુલ 20,885 ચલણમાંથી માત્ર 3,516નો નિકાલ થયો છે, જેના કારણે 11.89 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ હજુ વસૂલવાની બાકી છે. આરટીઓ કચેરીના આંકડા દર્શાવે છે કે હજુ પણ 17,426 જેટલા ચલણ પેન્ડિંગ છે. ખાસ કરીને ડિવાઇસ દ્વારા જનરેટ થયેલા ચલણો ભરવામાં વાહન ચાલકો ઉદાસીનતા દાખવી રહ્યા હોય તેવું જણાય છે. આગામી સમયમાં બાકી દંડની રકમ વસૂલવા માટે આરટીઓ તંત્ર દ્વારા વધુ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. વાહન ચાલકોને અપીલ કરાઈ છે કે તેઓ પોતાના પેન્ડિંગ ચલણની તપાસ કરી વહેલી તકે દંડ ભરી દે, જેથી કાયદાકીય ગૂંચવણોથી બચી શકાય.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:50 am

ટ્રાફિક નિયમોને લઈને પોલીસનું કડક વલણ:પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસે નિયમોના ભંગ બદલ 24,488 કેસ કર્યા, 71 લાખનો દંડ

રસ્તાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને ટ્રાફિક નિયમોના કડક અમલ માટે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે વર્ષ 2025-26 દરમિયાન વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. પોલીસે કાર્યવાહી કરીને કુલ 24,488 કેસ નોંધાયા હતા અને કુલ રૂ. 71,35,500નો દંડ ફટકારાયો હતો. પોલીસ દ્વારા મુખ્યત્વે હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવી, મોબાઇલ ફોનનો ઉપયોગ, બ્લેક ફિલ્મ, રોંગ સાઇડમાં વાહન હંકાવવું તેમજ અન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાઈ હતી. નંબર પ્લેટ વગરના અથવા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે 464 કેસ નોંધાયા હતા, જ્યારે 1,416 વાહનો ડિટેઇન કરાયા હતા. ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને 285 હેઠળ અનુક્રમે 119 અને 152 કેસ નોંધાયા હતા. નશામાં વાહન હંકાવવાના 74 કેસ નોંધાયા હતા. ઉપરાંત, LED લાઇટ રેટ્રોફિટ કરાયેલા વાહનચાલકો વિરુદ્ધ 1,533 એનસી કેસ નોંધાયા હતા. બેફામ દોળતી લક્ઝરીઓ અને ઓવરલોડ વાહનો ફરે છે તેના પર પણ કેસ નોંધી દંડ ફટકારવાની જરૂર છે. કયા કયા નિયમ બદલ કરાયેલ કેસ વર્ષભર જનજાગૃતિ માટે 62 કાર્યક્રમો યોજાયામાર્ગ સલામતી અને ટ્રાફિક શિસ્ત અંગે જનજાગૃતિ લાવવા વિભાગ દ્વારા વર્ષભરમાં કુલ 62 ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શાળાઓ, કોલેજો, જાહેર સ્થળો તથા વિવિધ સંસ્થાઓમાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને નિયમોનું પાલન, હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ અને વાહન વ્યવહાર પ્રત્યેની જવાબદારી અંગે સમજ અપાઈ હતી. વન નેશન વન ચલણના કુલ 3,149 કેસોવન નેશન વન ચલણ જેમાં ટ્રાફિક નિયમોના ભંગ માટે એકસરખી અને ડિજિટલ દંડ પ્રણાલી છે. જેમાં કોઈ પણ વાહનચાલક નિયમનો ભંગ કરે તો તેની સામે ઈ- ચલણ મારફતે કેસ નોંધાય છે અને ડિજિટલ સિસ્ટમમાં અપલોડ થાય છે તેવા 3,149 કેસ નોંધાયા છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:47 am

ભાસ્કર એનાલિસિસ:10માં વોર્ડમાં 4146 નામ કમી થયા, કોંગ્રેસના વોર્ડ 1-2માં સ્થિતિ સામાન્ય

SIRની કામગીરીની વ્યાપક અસર હવે ભુજ શહેરમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જ્યાં મતદારયાદી શુદ્ધિકરણ દરમિયાન કચ્છ જિલ્લામાં અંદાજે એકાદ લાખ જેટલા નામો કમી થયા છે, જેની સીધી અસર ભુજ નગરપાલિકાના 11 વોર્ડ પર પણ પડી છે. વર્ષ 2021 ની ચૂંટણી વખતે ભુજ નગરપાલિકામાં કુલ 1,30,099 મતદારો નોંધાયેલા હતા, જે 2026 માં ઘટીને 1,24,606 થઈ જતાં કુલ 5,493 મતદારોનો જંગી ઘટાડો નોંધાયો છે. વોર્ડવાર આંકડાકીય વિશ્લેષણ કરીએ તો, વોર્ડ નંબર 1 માં 169 અને વોર્ડ નંબર 3 માં 110 મતદારો ઘટ્યા છે, જ્યારે વોર્ડ 4 માં 3,860, વોર્ડ 5 માં 974, વોર્ડ 6 માં 1,545, વોર્ડ 8 માં 3,397, વોર્ડ 9 માં 364, વોર્ડ 10 માં સૌથી વધુ 4,146 અને વોર્ડ 11 માં 780 મતદારોની ઘટ નોંધાઈ છે. આ ઘટાડાની સામે વોર્ડ નંબર 2 માં 740 અને વોર્ડ નંબર 7 માં 1,398 મતદારોનો વધારો પણ જોવા મળ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ શાસિત વોર્ડ નંબર 1 અને 2 માં કોઈ મોટો ખાસ ફેરફાર થયો નથી. કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં SIR ની સમગ્ર કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે આંકડાકીય દૃષ્ટિએ કોંગ્રેસના ગઢ ગણાતા ભુજ પાલિકાના વોર્ડ 1 માં માત્ર 169 ની ઘટ છે અને વોર્ડ 2 માં તો ઉલટાનો 740 મતદારોનો વધારો નોંધાયો છે. વર્ષ 2021-2026ના વોર્ડ પ્રમાણે મતદાર

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:43 am

ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3:20 કરોડથી વધુના કામો થયા, પણ સફાઇમાં અસંતોષ

ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં વિકાસકાર્યો અને સ્થાનિક સમસ્યાઓ બંને નજરે ચડે છે. અંદાજે 25,000 જેટલી વસ્તી અને 12,000થી વધુ મતદારો ધરાવતા આ વોર્ડમાં રામનગરી, જીઆઇડીસી વિસ્તાર, હંગામી આવાસ, ભૂતેશ્વર, મહેંદી કોલોની, હિના પાર્ક (ભાગ-2 અને 3), હિન્દુસ્તાન સોસાયટી, અનીશ પાર્ક, મેમણ કોલોની અને શિવરા મંડપ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મોટાભાગે લઘુપતિ અને દલિત વર્ગના લોકો વસવાટ કરે છે. સ્થાનિક રહેવાસીઓમાં કેટલાક મુદ્દાઓને લઈને અસંતોષ પણ જોવા મળે છે. ખાસ કરીને ગટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં હજુ સુધારા કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના ચારેય નગરસેવકો ચૂંટાયા હતા. પૂર્વ નગરસેવક કાસમ કુંભાર અને કિરણ ગોરીના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વોર્ડમાં અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યો હાથ ધરાયા છે. ખાસ કરીને અંજલિ નગર, રોયલ સિટી, ભક્તિનગર, ચાકી વાળી, બાપા દયાળુ નગર અને સંજય નગરી વિસ્તારોમાં આશરે 8 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ સિસ્ટમ બેસાડવામાં આવી છે. તે ઉપરાંત વિવિધ વિસ્તારોમાં સીસી રોડના કામો પણ કરવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. જાહેર ચોકોમાં ઇન્ટરલોક બ્લોક બેસાડવા માટે 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે. ધારાસભ્ય કેશુભાઈની સહાયથી નગરપાલિકાએ 1.80 કરોડ રૂપિયાનું યોગદાન આપી 20 લાખ લિટર ક્ષમતાવાળો અંડરગ્રાઉન્ડ ટાંકો અને 10 લાખ લિટર ક્ષમતાવાળો ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવ્યા છે. સાથે સાથે 4 એમએલડી ક્ષમતાવાળો ફિલ્ટર પ્લાન્ટ પણ સ્થાપિત કરાયો છે, જેનાથી વોર્ડ નંબર 2 અને 3ના મળીને આશરે 45,000 લોકોને પાણી વિતરણમાં રાહત મળી છે. સમગ્ર શહેરની ગટર સમસ્યાનો નિકાલ આ વોર્ડમાં છેભુજના સીમતળ અને ગામતળની દરેક ગટર લાઇનનું અંતિમ એકઠા થવાનું સ્થળ વોર્ડ નં.3માં ભીડનાકાની બહાર તેમજ એરપોર્ટ રોડ પર છે. ધરતીકંપ બાદ નાખવામાં આવેલા પાઇપનો વ્યાસ વધારવામાં આવે અને આયોજન સાથે સમગ્ર ભુજની ગટર લાઇન જોડવામાં આવે તો કાયમી સમસ્યા હલ થાય. સ્થાનિકોનું કહેવું છે કે જો આ વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત થાય તો સમગ્ર શહેરની ગટર સમસ્યાનો નિકાલ શક્ય બની શકે. સાથે સાથે સફાઈ બાબતે પણ નગરપાલિકાની કામગીરી સંતોષજનક નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈનો અભાવ હોવાને કારણે રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ રીતે વિકાસકાર્યો અને બાકી રહેલી સમસ્યાઓ વચ્ચે વોર્ડ નંબર 3માં આ વખતે મતદારો શું નિર્ણય લે છે તે જોવાનું છે. વિસ્તાર : રામનગરી, ભૂતેશ્વર, જીઆઇડીસી હંગામી આવાસ, લખુરાઈ, મહેંદી કોલોની, હિના પાર્ક–2 અને 3, હિન્દુસ્તાન સોસાયટી, મેમણ કોલોની, શિવરા મંડપ, અલ મહેંદી કોલોની, અનિશ પાર્ક, દાદુપીર રોડની બીજી તરફ મતદારોની સંખ્યાપુરુષ - 6244 સ્ત્રી - 6017 કુલ - 12,261

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:41 am

અમેરિકન ડ્રીમ: અતિથિ તુમ કબ જાઓગે?:સરળ પ્રક્રિયા, પ્રોસેસમાં રહેલા છીંડાઓનો લોકોએ ગેરફાયદો ઉઠાવ્યો

થોડા સમય પહેલાં ક્યાંક વાંચેલું કોટેશન કે મંતવ્ય યાદ આવે છે. જેમાં એક અમેરિકન પિતા એના બાળકને કહે છે સન, વર્ક હાર્ડ ઓર ચીની એન્ડ ઇન્ડિયન વિલ ટેક યોર જોબ્સ! આ વાક્ય કયા સંદર્ભમાં, કયા સંજોગોમાં, કહેવાયું એ વિશે કોઇ માહિતી નથી પણ છતાં અત્યારે આ વાક્ય કે મંતવ્ય અમેરિકા અને અમુક પશ્ચિમી દેશોમાં એશિયન ખાસ કરીને ભારતીય એચ-1 વિઝા અને સ્ટુડન્ટ વિઝા ધરાવતા લોકો માટે સાચું પડી રહ્યું હોય એમ લાગે છે. એ ત્યાં સુધી કે પ્રેસિડેન્ટ ટ્રમ્પને જીતાડવા માટે નોકરી સંબંધિત સ્થળાંતર, ઇમિગ્રેશન એક ખૂબ અગત્યનો મુદ્દો હતો. વિશાળ કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ અસ્તિત્વમાં આવ્યાકોમ્પ્યુટર અને ઇન્ટરનેટની શોધ પછી દરેક ક્ષેત્રે એક નવી કારકિર્દી ઊભી થઇ છે કારણ કે હોસ્પિટલ, સ્ટોર્સ, શાળાઓ, રેલવે, દરેકે દરેક નાના ધંધા કે વ્યક્તિગત રીતે બધું કોમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયું. અને ખાસ કરીને અમેરિકાના સિલિકોન વેલી તરીકે ઓળખાતા કેલિફોર્નિયામાં સન માઇક્રો સિસ્ટમ, યાહૂ, ઓરેકલ, માઇક્રોસોફ્ટ, આઇબીએમ અને પછીના વર્ષોમાં ગૂગલ, મેટા, એપ્પલ જેવી ફેંગ કંપની તરીકે ઓળખાતા વિશાળકાય કોર્પોરેટ અને બીજા કેટલાક નાના મોટા સ્ટાર્ટઅપ્સ અસ્તિત્વમાં આવ્યા. અને એની વિસ્તારવાની ઝડપ એટલી બધી હતી કે એની સામે અમેરિકામાં વસતિના પ્રમાણમાં નિપુણ ટેક્નિકલ હતા નહીં. એટલે એ માંગને અને કામને પહોંચી વળવા એચ-1 બી વિઝા, ટીસીએસ, વિપ્રો, કોગ્નિઝન્ટ, એક્ષેન્સ્યોર અને એચસીએલ જેવી કન્સલ્ટિંગ કંપનીઝની મદદ લેવી પડે એવું થયું. અમેરિકા એટલે વસાહતીઓનો દેશઆમ તો 1960ના દશકથી અમેરિકા દુનિયાભરના લોકોને અહીં ભણવા આવવા માટે અને કાળાંતરે વસવા માટે આકર્ષતું રહ્યું છે અને જોવા જઇએ તો અમેરિકા વસાહતીઓનો દેશ છે અને હતો. અમેરિકાને અમેરિકા, સુપર પાવર બનાવવામાં, એને વિકસિત કરવામાં, એક ડ્રીમ દેશ બનાવવામાં, આ બધા નિપુણ વસાહતીઓનો મોટો હાથ છે. માટે જ એ વખતથી દુનિયાભરના પ્રતિભાશાળી લોકોને આકર્ષવા ખાસ કરીને ટેકનિકલ, મેડિકલ ક્ષેત્રની અછતને પહોંચી વળવા અલગ અલગ વિઝાની કેટેગરી, વિદ્યાર્થી વિઝા સિવાય ઊભી કરવામાં આવી. જેમ કે બિઝનેસ વિઝા, અત્યંત નિપુણ અને આગવી પ્રતિભા ધરાવતા લોકો માટે હાઇલી સ્કિલ્ડ વર્કર વિઝા, ઊભા કરવામાં આવ્યા. કારણ એક જ કે આ બધા દુનિયાભરના અત્યંત પ્રતિભાશાળી લોકો અહીં આવે, ભણે, સંશાધનોનો ઉપયોગ કરે અને અમેરિકાને શ્રેષ્ઠ ટેકનોલોજી, મેડિકલ સંશોધનો, બાયોટેક્નોલોજી, સિવિલ એન્જિનિયરિંગ ઉપરાંત બીજા અગણિત ક્ષેત્રે યોગદાન આપીને શ્રેષ્ઠ દેશ બનાવે. તકની શોધમાં ધાડા ઉતરી આવ્યાઅને એવું થયું પણ ખરું. ભારત જેવા દેશોમાંથી ખાસ કરીને આઇઆઇટી, આઇઆઇએમ, ઇસરો જેવી સંસ્થાઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો અમેરિકાના સંશાધનો, વળતર, તકથી આકર્ષાઇને અમેરિકા ભણી વળ્યા. આ ઉપરાંત એશિયામાંથી ચીન, સિંગાપોર, તાઇવાન જેવા દેશો તો ખરા જ પણ બીજા વિશ્વયુદ્ધ પછી રોજી રોટી અને તકની શોધમાં આખાને આખા ધાડા અમેરિકા આવી પહોંચ્યા. એ બધાએ સખત મહેનત કરીને આજનું અમેરિકા, સુપર પાવર અમેરિકા, તકોનો દેશ અમેરિકા, શ્રેષ્ઠ મેડિકલ, રસ્તા, ચોખ્ખાઇ, સગવડોનો દેશ બનાવ્યો. અને એની સામે અમેરિકાએ એમને સંશાધનો, સગવડો, તક અને આકર્ષક વળતર આપીને એમની પ્રતિભાને એક ઓળખાણ આપી. પ્રતિભાશાળી અને મહેનતુ લોકો માટે સોનેરી તકઅને પછી સોફ્ટવેર, આઇટી, સેમિ કન્ડક્ટર, બાયોટેક્નોલોજી વગેરે ક્ષેત્ર વિકસિત થતાં સુધીમાં તો અમેરિકા પ્રતિભાશાળી, મહેનતુ લોકો માટે સોનેરી તકો અને શ્રેષ્ઠ જીવન, સગવડોના દેશ તરીકે નામના મેળવી ચૂક્યું હતું માટે હવે ફક્ત પ્રતિભાશાળી, ખાસ ક્ષેત્રમાં નિષ્ણાત લોકો જ નહીં પણ દરેક સુખી અને પૈસા કમાવવાની મહેચ્છા રાખનાર વ્યક્તિ કે કુટુંબ માટે પણ અમેરિકન ડ્રીમ એક સપનું, અમુક કેસમાં ઝનૂન બની ચૂક્યું હતું, છે. કેપિટલિસ્ટ દેશ તરીકે ઓળખાતા અંકલ સેમ અમેરિકા પણ આ દરેકના સપનાને હકીકતમાં બદલી શકાય એ માટે એ લોકો આવીને આ દેશમાં કામ કરીને એને સુપર પાવર બની રહેવા માટે કામ કરે, મહેનત કરે અને બદલામાં શ્રેષ્ઠ વ્યક્તિગત, કૌટુંબિક અને વ્યવસાયિક જિંદગી બનાવવા અને માણવા માટે તક અને વળતર પૂરા પાડતું રહ્યું છે. એન્જિનિયરિંગનો અભ્યાસ રાતોરાત પ્રથમ પસંદગી બની ગયોએચ વન બી, એલ વન બી, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા અને બિઝનેસ વિઝા જેવાનો ઉપયોગ માટે જ ભારત અને ચીન જેવા એશિયાઇ દેશો સૌથી વધારે કરે છે. અને 2000 ની સાલમાં વાય ટુ કે જેવી ઘટના પછી ભારત જેવા દેશોમાંથી ધાડા ના ધાડા કોમ્યુટર એન્જિનિયર અમેરિકા આવી પહોંચ્યા. રાતો રાત મેડિકલ છોડીને યુનિવર્સિટીઓમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગીનો અભ્યાસક્રમ બની ગયો. આવી જ હાલત પાડોશી દેશ ચીન, રશિયા વગેરેની પણ થઇ. એવું કહેવાય છે કે એ વખતે ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગ્લોર જેવા આઇટી હબ ગણાતા શહેરોની અમેરિકન એમ્બેસીના કોન્સ્યૂલેટ ઓફિસર્સ આ ક્ષેત્રના નિષ્ણાતોની અરજીને જોયા વગર, ઊંચું જોઇને સામે કોણ ઊભું છે એ નોટિસ કર્યા વગર પાસપોર્ટ પર સ્ટેમ્પ મારી દેતા. 25 વર્ષ પહેલાં આવેલા અબજોપતિ થઇ ગયાઅને 25 વર્ષ પહેલાં આવેલા આ બધા નિષ્ણાતો અત્યારે આ તક અને એની કદર કરી જાણનાર દેશ નામે અમેરિકામાં આવીને કરોડપતિ નહીં પણ નોકરી પછી પોતાની કંપની શરૂ કરીને અબજોપતિ થઇ ગયા. હોટમેલના સાબિર ભાટિયા, ગૂગલના સુંદર પીચાઇ, માઇક્રોસોફ્ટના સત્ય નાદેલા જેવાની કહાની સાંભળીને અને સફળતા જોઇને આજે પણ ભણવા, નોકરી કરવા અને વસવા માટે અમેરિકા શ્રેષ્ઠ દેશ ગણાય છે. તેનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં દરેકે દરેક પ્રક્રિયા જેમ કે સ્ટુડન્ટ વિઝામાંથી નોકરી માટે એચ 1 બી વિઝા અને પછી ગ્રીન કાર્ડ અને અમેરિકન નાગરિકતા મેળવવી એકંદરે સહેલી હતી, છે. ઉપરાંત અમેરિકા જ ફક્ત વિશ્વનો એક એવો શ્રેષ્ઠ જીવનની અને તકોની ખાતરી આપતો દેશ છે જ્યાં કાયદેસર તો ઠીક ગેરકાયદેસર વસાહતીઓના જે બાળકો આ ભૂમિ પર જન્મે તે આપોઆપ અમેરિકન નાગરિક બની જાય એવી સગવડ મળે છે! સરળ પ્રક્રિયાઓનો ગેરફાયદો ઉઠાવ્યોપણ અમેરિકાની આ સરળ પ્રક્રિયાઓ, પ્રોસેસમાં રહેલા છીંડાઓનો લાભ વસતિ વધારાને કારણે આવતી સ્પર્ધામાં હાથ પગ મારીને, બુદ્ધિ સાચી ખોટી જગ્યાએ વાપરીને રસ્તો કરી જાણનાર ચાઇનીઝ, રશિયન અને દુઃખ સાથે ખાસ કરીને ભારતીય મૂળના લોકોએ ખૂબ ઉઠાવ્યો અને એ વ્યવસ્થાઓનું શોષણ કર્યું. એચ વન બી જેવા વિઝા જે પ્રતિભાશાળી નિષ્ણાતો જે અમેરિકામાં ઉપલબ્ધ નહોતા એવા લોકો માટે બનાવેલા, એની કાયદાકીય પ્રક્રિયામાં રહેલા છીંડા શોધીને આર્ટસ, કોમર્સ કે એપટેક જેવી સંસ્થાઓમાંથી કમ્પ્યુટરનો કોર્સ કરેલા લોકોને આ દેશમાં લાવવા માટે કરીને અત્યારે ઘણી જગ્યાએ અળખામણા બન્યા છે. એના કારણોમાં ઘણા બધા મૂળ વસાહતીઓ એવા અમેરિકન લોકો સિવાય 500 વર્ષ પહેલાં આવેલા વસાહતીઓ જે આટલી બધી પેઢીથી અમેરિકાના નાગરિક છે. જેની અહીં 3-4 પેઢી વસી રહી છે એવા ભારતીય અને બીજા મૂળના લોકોને એવું લાગે છે અને ઘણી રીતે હકીકત પણ છે કે આ સામાન્ય આવડતવાળા સામાન્ય કામ માટે આવીને અમારી નોકરી છીનવી રહ્યાં છે. વસાહતીઓ સામે અણગમો વધી રહ્યો છેઆ ઉપરાંત જે તે દેશના કાયદા પ્રમાણે રહેવાની ઉદાસીનતા, અમેરિકા જેવા દરેક વાતમાં ઉદાર નીતિ ધરાવતા દેશની એ નીતિનો લાભ લઇને પોતાના રીત રિવાજને જક્કી રહીને વળગી રહેવું, ગંદકી કરવી, કાયદાઓનો, મળતી સગવડોનો ગેરલાભ ઉઠાવવો વગેરે કારણે પણ ફક્ત ભારતીય નહીં આવા દરેક દેશના એવા વસાહતીઓ માટે અણગમો, રોષ વધી રહ્યો છે એ હકીકત છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે મીઠાં ઝાડના મૂળિયાં ના કપાય ! આ કહેવત ને અને એમાં રહેલા ભાવાર્થને જો આ અમેરિકન ડ્રીમ ધરાવતા લોકો ગંભીર રીતે નહીં લે તો ફક્ત વ્યવસાયિક અને શ્રેષ્ટ સગવડો જ નહીં પણ ખરી રીતે સ્વતંત્રતા, મુક્તિનો અહેસાસ કરાવતા અને પોતાના નાગરિકની જીંદગી, મહત્તા સમજતા અને એની જાળવણી કરતા આ એક અતિ સુંદર દેશ માટે કાયમ માટે દરવાજા બંધ નહીં થાય તો પણ અળખામણા બનીને જીવવાની તૈયારી રાખવી પડશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:35 am

શાકભાજી-ડિઝાઇનર છોડથી ઘરનો દરેક ખૂણો સજાવ્યો:300થી વધુ છોડ વાવી પૂર્વ શિક્ષિકા અલ્પા શાહે ઘરને મિનિ ફોરેસ્ટ બનાવ્યો

વધતા કોંક્રીટના જંગલ વચ્ચે શહેરોમાં કુદરતી હરિયાળી ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. લોકો હવે કુદરતની નજીક રહેવા ગામડાઓ તરફ વળતા જોવા મળે છે, પરંતુ દરેકને એ શક્ય નથી બનતું. આવી સ્થિતિમાં, કેટલાક લોકો પોતાના ઘરને જ હરિયાળું બનાવીને કુદરતનો અનુભવ માણી રહ્યા છે. આ નવી પ્રવૃત્તિ શહેરના વ્યસ્ત જીવનમાં પણ કુદરત સાથે જોડાવાનો વિકલ્પ બની રહી છે. વડોદરાની પૂર્વ શિક્ષિકા અલ્પા શાહે પોતાના ઘરને 300થી વધુ વિવિધ પ્રકારના છોડથી સજાવ્યું છે. આ વિશે તેઓએ કહ્યું કે, ઘરમાં 300થી વધુ છોડ છે, જેમાં સ્નેક પ્લાન્ટની અનેક જાતિઓ સામેલ છે. મારી પાસે શાકભાજી, ઔષધીય અને ડિઝાઇનર છોડ સહિત અનેક પ્રકારના છોડ છે. જે બાથરૂમથી લઈને લિવિંગ રૂમ સુધી જે મારા ઘરના દરેક ખૂણાને સજાવે છે. હું મારા રસોડામાં પાલક, મેથી જેવા શાકભાજી પણ ઉગાડું છું. તૂટેલા ચાના કપ, વપરાઈ ગયેલી પાણી અને દૂધની બોટલ જેવી બિનઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરીને હું તેને પ્લાન્ટર બનાવી તેમાં છોડ ઉગાડું છું, જેથી કચરાનો શ્રેષ્ઠ ઉપયોગ થાય.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:15 am

જાવેદ અલીએ વાતવારણને સંગીતમય બનાવી દીધું:સિગ્મા યુનિ.માં બોલિવુડના ‘શ્રીવલ્લી’, ‘તુમ તક’ ગીતોની મ્યૂઝિકલ નાઇટ

સિગ્મા યુનિવર્સિટીમાં યોજાયેલ કલ્ચરલ ગાલા 2026 દરમિયાન પ્રસિદ્ધ ગાયક કલાકાર જાવેદ અલીએ પોતાના લાઈવ પરફોર્મન્સથી સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. તેમના સુરીલા અવાજે હાજર દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જાવેદ અલીએ ‘કુન ફાયા કુન’, ‘તુમ તક’, ‘ગુઝારીશ’ અને ‘શ્રવલ્લી’ જેવા લોકપ્રિય ગીતો રજૂ કર્યા હતા. તેમના અવાજની ઊંડાણ અને સ્ટેજ પરની ઊર્જાએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો. વિદ્યાર્થીઓ અને સંગીતપ્રેમીઓ માટે આ સાંજ ખાસ બની રહી. પ્રેક્ષકોના ઉત્સાહ અને તાલીઓ વચ્ચે જાવેદ અલીનું પરફોર્મન્સ કલ્ચરલ ગાલા 2026નો સૌથી મોટો હાઇલાઇટ બની રહ્યો. કેમ્પસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ સંગીતની મજા માણી હતી. તેમજ તેમના મનગમતા બોલિવુડના લાઇવ ગીતો સાંભળવાનો લાહ્વો મેળવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:13 am

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનથી રોષ:ખડગે જણાવે કે રાહુલ-પ્રિયંકા ગાંધીના દાદા ગુજરાતના હતા,તે મૂર્ખ હતા?: યોગેશ પટેલ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિરુદ્ધ કરાયેલા વિવાદિત નિવેદન મુદ્દે શહેર ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે ખડગેના નિવેદન પર આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, મલ્લિકાર્જુન ખડગે એ બતાવે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દાદા (ફિરોઝ ગાંધી) પણ ગુજરાતના જ હતા, તો શું ખડગેના મતે તેઓ પણ મૂર્ખ હતા?. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા ગુજરાત અને ગુજરાતીઓની ઉપેક્ષા કરી છે. ગુજરાતીઓને ‘અભણ’ ગણાવવા તે સમગ્ર ગુજરાતનું અપમાન છે. તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસે નર્મદા યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાને મંજૂરી ન આપીને ગુજરાતને અન્યાય કર્યો હતો, જેનો જવાબ હવે જનતા આપશે.ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રનાયકો આપ્યા છે.આવા વીરોની ભૂમિના લોકોને અપમાનિત કરવા તે કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતની ઉપેક્ષા થઈ, જનતા જવાબ આપશે: શહેર ભાજપ પ્રમુખ

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:10 am

ભાડાની કાર લઈને યુવક ફરાર થયો:ઝુમ કાર પરથી ગોરવાના યુવકની ક્રેટા કાર લઈ ફતેપુરાનો શખ્સ ફરાર

ગોરવામાં રહેતા યુવક પાસેથી તેની ક્રેટા કાર ઝુમકાર મારફતે ભાડે લઈ જઈ ફતેપુરાનો શખ્સ ફરાર થઈ ગયો હતો. યુવકે જીપીએસ મારફતે તપાસ કરતા તેની કાર મધ્યપ્રદેશમાં જણાઈ હતી. ત્યારે આ મામલે સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મુળ જૂનાગઢના અને હાલ ગોરવા ઓમ ફ્લેટ ખાતે રહેતો પ્રહલાદ રમેશ બલદાણીયા એલેમ્બિક ફાર્મા કંપનીમાં રિસર્ચ એનાલિસિસ વિભાગમાં નોકરી કરે છે. તેની પાસે ક્રેટા કાર છે. પ્રહલાદને કારનું કામ ન હોય તો તે ઝુમ કાર એપ્લીકેશન મારફતે કાર ભાડે આપે છે. માર્ચ મહિનામાં ઝુમકાર એપ્લીકેશન પરથી કારનું બુકિંગ આવ્યું હતું. ફતેપુરા ભાંડવાડા ખાતે રહેતા કૃણાલ અંબાલાલ સોલંકીને બે દિવસ કાર ભાડેથી લેવી હતી. એપ્લીકેશન દ્વારા રૂ.2600 ભાડું આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ કૃણાલ કાર લઈ ગયો હતો. તેને જરૂરી દસ્તાવેજો પણ આવ્યા હતા, સાથે જ રૂ.1500 ડિપોઝિટ આપી હતી. ત્યારે કાર તા.18 માર્ચે વડોદરાથી ગોધરા તરફ જીપીએસમાં જતી જણાઈ હતી. જેથી પ્રહલાદે કૃણાલને પૂછતા તેને પોતાની સાસરી દાહોદ હોવાનું કહ્યું હતું અને કારનું ભાડું આપી દેશે તેમ કહ્યું હતું. કૃણાલે વધુ રૂ.2600 ઓનલાઈન મોકલવાને બદલે રૂબરૂ આવીને કેશમાં આપી દઈશું તેમ કહ્યું હતું. જોકે તે બાદ કૃણાલનો ફોન બંધ થઈ ગયો હતો. જેથી પ્રહલાદે જીપીએસથી જોતા કાર મધ્યપ્રદેશમાં જણાઈ હતી. બે દિવસના ~2600 ભાડું આપીને કાર લઈ ગયો હતો

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:09 am

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું‎:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવા-રાજકીય મેસેજ પર પ્રતિબંધ

રાજ્ય ચૂંટણી આયોગે વડોદરા પાલિકા, જિલ્લાની 4 નગરપાલિકા, 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં આચારસંહિતા અમલી બની છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી રીતે યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.પટેલે જાહેરનામા બહાર પાડ્યાં છે. જે અંતર્ગત કોઈ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચારમાં સરકારી રહેણાંકનો ઉપયોગ નહીં કરી શકે. 26 એપ્રિલે મતદાનમાં વડોદરા પોલીસ કમિશનરની હદ સિવાય જિલ્લાના ચૂંટણી વિસ્તારોમાં કોઈપણ મતદાન મથકથી 200 મીટરની હદમાં કોઈ પણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકો દ્વારા મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે કેમ્પ ઊભા કરી શકાશે નહીં કે તેવી કોઈ કોશિશ પણ કરી શકાશે નહીં. મતગણતરી કેન્દ્ર પર 100 મીટરની ત્રિજ્યામાં કલમ-163 લાગુ કરાશે28 એપ્રિલના રોજ મતગણતરીના દિવસે કેન્દ્રની આસપાસના 100 મીટર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. મોબાઈલ ફોન, વાયરલેસ સેટ કે અન્ય ઉપકરણો પ્રતિબંધિત વિસ્તારમાં લઈ જઈ શકાશે નહીં. સત્તાવાર પાસ વગર કોઈને પણ પ્રવેશ મળશે નહીં. ચૂંટણી પ્રચાર દરમિયાન ગેસ્ટ હાઉસ અને સરકારી રહેઠાણો પર નિયંત્રણચૂંટણી પ્રચાર દરમિયાન કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર સરકારી વિશ્રામગૃહ કે સરકારી રહેણાંકનો ઉપયોગ પ્રચાર કચેરી તરીકે કરી શકશે નહીં. કોઈ પણ વ્યક્તિને 48 કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં. મતદાનના 48 કલાક અગાઉ આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે નહીં. વીવીઆઈપી સાથે બે જ વાહનને કમ્પાઉન્ડમાં પ્રવેશ મળશે. કોઈપણ પક્ષ-ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણુ-વરંડા સહિત)નો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી. સરકારી વિશ્રામગૃહમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગીક મીટિંગ પણ યોજી શકાશે નહીં. રાજકીય SMS પર 48 કલાકનો પ્રતિબંધ, મતદાન જાગૃતિના મેસેજ કરાશેમતદાનના 48 કલાક અગાઉ એટલે કે તા. 24 એપ્રિલની સાંજે 06:00 કલાકથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર કે એજન્ટ દ્વારા રાજકીય એસએમએસ મોકલવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. માત્ર ચૂંટણી પંચના સ્વિપ કાર્યક્રમ હેઠળ મતદારોને જાગૃત કરવાના મેસેજને જ મુક્તિ આપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદા અને આચારસંહિતાનો ભંગ કરતા શોર્ટ મેસેજ (એસ. એમ. એસ.) પ્રસારિત થતા અટકાવવા વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એસ. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પડાયું છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:08 am

મકરપુરા ગામમાં રહેતી મહિલાનો આપઘાત:પરિણિતાએ બેડરૂમમાં પંખે ઓઢણી બાંધી ફાંસો ખાધો

મકરપુરા ગામમાં રહેતી 22 વર્ષીય પરિણિતાએ તેના બેડરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી પરિવાર પરિણિતાને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાબતે મકરપુરા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. લગ્નના 4 વર્ષ બાદ પરિણિતાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. ગામના પટેલ ફળીયામાં રહેતા 22 વર્ષીય હેમુના લગ્ન 4 વર્ષ પહેલા હર્ષ પટેલ સાથે થયા હતા. મંગળવારે બપોરે 1 વાગ્યાના અરસામાં હર્ષ ઘરે આવ્યો ત્યારે હેમુ ઘરમાં ન દેખાતા તે બેડરૂમમાં જોવા ગયો હતો. જ્યાં હેમુએ પીળા રંગની ઓઢણી પંખા પર બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતદેહને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયા છતાં ટૂંકી સારવાર બાદ હેમુનું મોત થયું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને તેના પિયર પક્ષને સોંપ્યો હતો. પોલીસે સાસરી અને પિયર પક્ષના તમામ સભ્યોના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. જોકે હેમુના પિયર તરફથી કોઈ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા નથી.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:05 am

વાપી પાલિકાના વોર્ડ નં. 8માં વેપારીઓની હાલત કફોડી:ના સમયસર પાણી, ના સફાઈ, સ્ટ્રીટ લાઈટોનો પણ અભાવ, ગટરની સમસ્યાએ માઝા મૂકી; મતદારોએ રોષ ઠાલવ્યો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન તેમજ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા વાપીમાં કેવો છે માહોલ તેમજ મતદારોને મિજાજ શું છે તે જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ વાપીના વોર્ડ નંબર 8માં પહોંચી હતી. જ્યાં મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ​વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલા શાકભાજી માર્કેટના વેપારીઓ અને રહીશો હાલ અનેક પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 'સ્વચ્છ ભારત'ના નારા વચ્ચે વાપીના આ ધમધમતા વિસ્તારમાં ગંદકી અને ગટરની સમસ્યાએ માઝા મૂકી છે. વેપારીઓએ પોતાની વેદના ઠાલવતા પાલિકા તંત્ર અને સ્થાનિક નેતાગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ‘સુવિધાના નામે માત્ર આશ્વાસનો જ મળે છે’સ્થાનિક વેપારી અગ્રણી વરુણ ઠાકુરે વેપારીઓના પક્ષે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અહિં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહિંયા બે ટાઈમ પાણી આવે છે, પાણી આપવાનો સમય એક કલાકનો છે પણ પાણી માત્ર 20 મિનિટ જ આવે છે. વોર્ડ નંબર 8ના આ વિસ્તારમાં વેપારીઓ પાસે નિયમિત ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ વળતરમાં સુવિધાના નામે માત્ર આશ્વાસનો જ મળે છે. ​વધુમાં જણાવ્યું કે, અમે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને અથડાઈને આ રજૂઆતો પાછી આવે છે. માર્કેટમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ નથી, છત્તા ડ્રેનેજ વેરો રૂ. 1200 વસુલવામાં આવે છે. સ્ટ્રીટ લાઈટોનો અભાવ છે અને કચરાના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. મહાનગર પાલિકાના 2 બજેટ જાહેર થયા એકપણ બજેટમાં ટેક્સનો કોઈ વધારો કર્યો નથી. જે સારું કહેવાય પરંતુ સ્થાનિક લોકોને પાયાની સુવિધા પણ પુરી પાડતી નથી પાથરણા વાળાઓને વારંવાર ઉઠાવી શાકભાજી જપ્ત કરવામાં આવે છે. ‘રસ્તાઓ પર કચરાના ઢગલા પડ્યા રહે છે’માર્કેટમાં વર્ષોથી વેપાર કરતી મહિલા વેપારીઓએ જણાવ્યું હતું કે, અહીં સફાઈના નામે શૂન્ય કામગીરી છે. રસ્તાઓ પર કચરાના ઢગલા પડ્યા રહે છે અને ગટર ઉભરાવવાના કારણે દુર્ગંધનો સામનો કરવો પડે છે. ‘શાકભાજીનો અમારો માલ પાલિકા વાળા ટ્રેક્ટરમાં ભરી જતા રહે છે’મહિલાઓએ રોષે ભરાઈને કહ્યું કે, અમે અહીં પરસેવો પાડીને વેપાર કરીએ છીએ, પણ પાલિકા અમને એક ડસ્ટબિન સુધ્ધાં આપતી નથી. ગંદકીમાં બેસીને શાકભાજી વેચવા મજબૂર છીએ, જેના કારણે અમારા સ્વાસ્થ્ય પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. વર્ષોથી અમે આ શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચી પરિવારનું સંચાલન કર્યું હવે અમને અહીંથી ઉઠી જવા કહેવામાં આવે છે. શાકમાર્કેટમાં ફક્ત 3 કલાક વેપાર કરવાની માંગ કરીએ છીએ, શાકભાજીનો અમારો માલ પાલિકા વાળા ટ્રેક્ટરમાં ભરી જતા રહે છે. એક મહિલા વેપારીના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોને શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચવા નથી દેતા અમે સ્થાનિક લોકો વેપાર નહીં કરીશું તો કોણ વેપાર કરશે. ‘ગ્રાહકો ગંદકી જોઈને માર્કેટમાં આવવાનું ટાળે છે’​અન્ય એક વેપારીએ ઉમેર્યું કે, ચોમાસામાં તો અહીંની સ્થિતિ નરકાગાર જેવી થઈ જાય છે. ગ્રાહકો ગંદકી જોઈને માર્કેટમાં આવવાનું ટાળે છે, જેની સીધી અસર અમારા ધંધા પર પડી રહી છે. ​વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં સફાઈ અને ગટરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે, તો તેઓ પાલિકા કચેરીએ જઈ ઉગ્ર આંદોલન કરશે અને ટેક્સ ભરવાનું પણ બંધ કરી શકે છે. ગંદકી અને કચરાના કારણે રખડતા ઢોરનો ત્રાસવોર્ડ નંબર 8ની મુખ્ય સમસ્યા વિશે વાત કરીએ તો અહિં સફાઈનો અભાવ છે. માર્કેટ વિસ્તારમાં સફાઈ કામદારો અનિયમિત છે, જેના કારણે કચરો રસ્તા પર જ સડે છે. ​ગટરની પણ સમસ્યા છે. જૂની ગટર લાઈનો ચોક-અપ થઈ જવાથી ગંદુ પાણી રસ્તા પર ફેલાય છે. ગંદકી અને કચરાના કારણે રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, જે અવારનવાર અકસ્માત સર્જે છે. ​વાપીને 'સ્માર્ટ સિટી' બનાવવાની વાતો વચ્ચે વોર્ડ નંબર 8ના વેપારીઓની આ સ્થિતિ પાલિકાની કામગીરી પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:05 am

પાલિકાની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ:પોલીસનું ‘ઓપરેશન ક્લિન’ શરૂ, ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગથી લોકશાહીના પર્વની તૈયારી

પાલિકાની ચૂંટણીને લઈ પોલીસ એક્શનમાં આવી છે. 1 એપ્રિલથી અમલી બનેલી આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરાવવા શહેર પોલીસ સજ્જ બની છે. 26 એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં થાય તે હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી અધિકારીઓને સૂચના આપી છે. શહેરમાં અસામાજિક તત્વો અને દારૂની હેરાફેરી રોકવા વ્યૂહાત્મક સ્થળે 11 ચેકપોસ્ટ કાર્યરત કરાઇ છે. જ્યાં પોલીસ 24 કલાક ચેકિંગ કરી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 3462 વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ની ખાસ ડ્રાઇવ યોજી નશાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા, આચાર સંહિતાનો ભંગ અને સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ચૂંટણી અને પ્રચારના સમયની સુરક્ષાના આગોતરા પગલાં રૂપે અત્યાર સુધીમાં લાયસન્સ ધરાવતા 30 ટકાથી વધુ હથિયારો પોલીસ મથકોમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત ફૂટ પેટ્રોલિંગ અને ‘એરિયા ડોમિનેશન’ કરવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય નાગરિકો નિર્ભય બની મતદાન કરી શકે. ચૂંટણી સુરક્ષા વચ્ચે તંત્ર એલર્ટ સહકાર આપવા પો.કમિશનરે નાગરિકોને જાહેર અપીલ કરીવડોદરા શહેર પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે આચાર સંહિતાના ભંગની જાણકારી મળે તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ. ન્યાયી ચૂંટણી માટે પોલીસ તંત્ર જનતાના સહકારની અપેક્ષા રાખી રહ્યું છે. > નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:02 am

મેયરની ટર્મ પૂર્ણ થતા જ ભરત બારડ વેલ્ડિંગ કામમાં વળગ્યા:અઢી વર્ષ ભાવનગરના મેયર રહ્યા પણ પોતાનો વ્યવસાય ન ભૂલ્યા, પોતાનું ઘર પણ નથી

આજકાલ નેતાઓને નાનો પણ હોદો મળી જાય તો પગ જમીન પર રહેતા નથી હોતા. મોટાભાગના નેતાઓમાં અભિમાન આવી જતું હોય છે. સામાન્ય નેતાને હોદો મળ્યા બાદ આર્થિક સ્થિતિ પણ બદલાઈ જતી હોય છે. પરંતુ, ભાવનગર મહાનગરપાલિકાની છેલ્લી ટર્મમાં મેયર રહેલા ભરત બારડ જરા અલગ નેતા છે. અઢી વર્ષ સુધી મેયરપદે રહ્યા હોવા છતા ભરત બારડ આજે પોતાના ફેબ્રિકેશનના કામમાં લાગી ગયા છે. આજની તારીખે પણ તેઓ વેલ્ડિંગની કેબીન પર વેલ્ડિંગ કરી રહ્યા છે. ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, પાર્ટીએ મારા જેવા સામાન્ય માણસને ટિકિટ આપી મેયર બનાવ્યો. મારાથી બનતી સેવા મેં લોકોની કરી. મેયરની ટર્મ પૂર્ણ થતા જ ભરતભાઈએ વેલ્ડિંગની દુકાન શરૂ કરી દીધી​મેયર પદની ટર્મ પૂર્ણ થતાની સાથે જ ભરતભાઈએ કોઈ પણ જાતના દેખાડા વગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી પોતાની જૂની વેલ્ડિંગની દુકાન ફરી શરૂ કરી દીધી છે. આજે તેઓ એક સામાન્ય કારીગરની જેમ દુકાને બેસીને લોખંડના કામમાં વ્યસ્ત જોવા મળ્યા હતા, ​કામ એ જ પૂજા છે ભરતભાઈના આ અભિગમે સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા મેળવી છે, લોકો કહી રહ્યા છે કે સત્તા આવે અને જાય પણ માણસાઈ અને પોતાની જમીન સાથે જોડાયેલા રહેવું એ જ સાચી સફળતા છે. ​ભરતભાઈ બારડનો આ કિસ્સો આજના સમયના નેતાઓ માટે શીખ સમાન છે સત્તાનો અહંકાર ત્યજીને મહેનતની કમાણીમાં વિશ્વાસ રાખતા ભરતભાઈએ સાબિત કરી દીધું છે કે લોકસેવા એ જવાબદારી છે, ધંધો નહીં. મારો દીકરો મારો ધંધો સંભાળી રહ્યો છે, અહીં મદદ કરવા આવું છું- પૂર્વ મેયરભરતભાઈ બારડે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌ સૌની ફરજ પ્રમાણે મેયર પદ જ્યાં સુધી મારી મુદ્દત પુરી થઈ ત્યાં સુધી લોકોની સેવા કરવાની મને તક મળી. મેં પુરી ઈમાનદારી, પુરી મહેનત અને વફાદારીથી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મેં સફળતાપૂર્વક કામ કર્યું. ઉપરાંત હવે નિવૃત્ત થયો છું ત્યારે મારો દીકરો મારો ધંધો સંભાળી રહ્યો હતો,તેને મદદ કરવા આવું છું. વેલ્ડીંગ, પાઈપ કટીંગ અને ફ્રેમિંગ માટે મદદ કરું છું. 'મારા મેયરના કાર્યકાળ તરીકે નાનામાં નાના માણસને મદદ કરી'ભરત બારડે વધુમાં જણાવ્યું કે, મારા મેયર તરીકેના કાર્યકાલ દરમિયાન નાનામાં નાના માણસને મદદ કરી છે. ભાવનગરવાસીઓને સુખ-સગવડ, લાઈટ નળ, ગટર અને રોડ સહિતની સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે. પૂર્વ મેયરને પોતાની માલિકીનું ઘર પણ નથીભરત બારડ અઢી વર્ષ સુધી ભાવનગરના મેયર રહ્યા. આજે પણ તેઓ ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં ભાડાના ઘરમાં રહે છે. વેલ્ડિંગનો જે વ્યવસાય છે તે પણ એક કેબિનમાં ચાલે છે. મને આશા છે કે પાર્ટી કદાચ અપવાદરૂપ ટિકિટ આપે- ભરત બારડઆગામી ચૂંટણીમાં ટિકિટ મળશે કે નહીં? તેના જવાબમાં ભરત બારડે કહ્યું કે, અમારી પાર્ટી 60 વર્ષથી ઉપરની ઉંમરના ટિકિટ નથી આપતી. પણ કદાચ અપવાદરૂપ મને ટિકિટ મળે તેવી આસા છે. ન મળે તો પણ મને દુઃખ નહીં થાય. હું પાર્ટીની અને લોકોની સેવા કરતો રહીશ.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:00 am

'રેલીમાં અમને નાચવા બોલાવે છે પણ ટિકિટ કોઈ આપતા નથી':અમારા અંતિમ સંસ્કાર માટે જગ્યા પણ ફાળવાતી નથી, ચૂંટણી ટાણે કિન્નરોએ બળાપો કાઢ્યો

હીરા અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હજારોની સંખ્યામાં કિન્નર સમાજના લોકો વસે છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે, આ લોકશાહીના પર્વમાં એક એવો વર્ગ પણ છે જે વર્ષોથી ઉપેક્ષિત રહ્યો છે. સુરતમાં કિન્નર સમાજની વસ્તી હજારોમાં હોવા છતાં મતદાર યાદીમાં માત્ર 115 જેટલા જ નામ નોંધાયેલા છે. ખાસ કરીને નાનપુરા અને ગોડાદરા જેવા વિસ્તારોમાં આ સમાજની મોટી વસ્તી છે. દિવ્યભાસ્કરની ટીમ જ્યારે વોર્ડ નંબર 26, ગોડાદરા-ડીંડોલી ઉત્તરમાં રિયાલિટી ચેક કરવા પહોંચી, ત્યારે કિન્નર સમાજની વેદના અને રોષ બંને સામે આવ્યા હતા. પાયાની સુવિધાઓથી લઈને સામાજિક સન્માન સુધી, આ સમાજ આજે પણ સંઘર્ષ કરી રહ્યો છે.કિન્નર સમાજના 15 થી 29 લોકો એક જ પતરાવાળા મકાનમાં રહેવા મજબૂર છે. ભીષણ ગરમી વચ્ચે પણ તેઓ પતરાના મકાનમાં દિવસો વિતાવે છે. વધુમાં, નળમાં સાફ પાણી આવતું નથી અને કચરો લેવા માટે એક-એક અઠવાડિયા સુધી કર્મચારીઓ આવતા નથી, તેવી ફરિયાદ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી છે. વોટ લેવા માટે હાથ જોડે છે, જીતી ગયા પછી દૂરથી હાથ બતાવે છેઃ પાયલ કુંવરગોડાદરાની રામરાજ્ય સોસાયટીમાં રહેતા પાયલ કુંવરે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે કિન્નર તરીકે પેદા થયા કે થયા પછી જે અમારા પર વીતે છે એ અમને જ ખબર છે. સામાન્ય સ્ત્રી-પુરુષોને બધી સુવિધાઓ પૂછવામાં આવે છે, પણ અમારે ત્યાં આજ સુધી કોઈ કોર્પોરેટર કે નેતા આવ્યા નથી. વોટ લેવા હોય ત્યારે બધા આવી જાય છે કે આશીર્વાદ આપો, પણ જીત્યા પછી ઓળખતા પણ નથી. અમે લાઇનમાં ઊભા રહીને વોટ આપીએ છીએ કે નેતા અમને પૂછશે, પણ જીત્યા પછી તેઓ દૂરથી જ હાથ બતાવી દે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, મર્યા પછી અંતિમ સંસ્કાર અને દફનવિધિ માટે જગ્યા માંગતા અમે ત્રણ વર્ષથી કલેક્ટરને અરજી આપી છે, પણ હજુ સુધી કિન્નર સમાજનો નંબર લાગ્યો નથી. મોદીજી 'બેટી બચાવો' કહે છે પણ 'કિન્નરો કો પઢાઓ, આગે બઢાઓ' કેમ નથી કહેતા? અમને પણ ગાંધીનગર અને પાર્લામેન્ટ સુધી પહોંચવાનું સપનું છે. ‘અમે શું એલિયન છીએ? વોટ લેવા હોય ત્યારે આશીર્વાદ લેવા દોડો છો’અવગણના અંગે મૈથલી ઝુલી કુંવરે તીખા સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે સાંભળીએ છીએ કે મતદાન કરવાનું છે, પણ એ વોટ શા માટે આપવાનો એ કોઈ કહેતું નથી. નર, નારી અને બાળકો માટે યોજનાઓ બને છે પણ કિન્નર માટે કોઈ સુવિધા નથી. ઇલેક્શન પહેલા આમ આદમી, કોંગ્રેસ કે ભાજપ હોય, બધા આશીર્વાદ લેવા આવે છે કે અમે તમારું બધું સારું કરશું. વર્ષોથી આ જ સાંભળતા આવ્યા છીએ. જો તમે કિન્નરોની ગણતરી જ નથી કરતા તો શું અમે એલિયન છીએ? જો તમે અમને દેશના નાગરિક સમજીને અમારા વોટ સ્વીકારતા હોવ, તો અમને નાગરિકતાનું માન-સન્માન પણ આપો. જીત્યા પછી તો તમે અમારું મોઢું જોવાનું પણ પસંદ કરતા નથી. ‘રેલીમાં નાચવા માટે બોલાવે છે, પણ ટિકિટ આપવા કોઈ તૈયાર નથી’સાહેબા કુંવરે રાજકીય પક્ષોના ઉપયોગીતાવાદી અભિગમ પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે ત્યારે રેલીઓમાં અમને નાચવા માટે ભાવભર્યું ઇન્વિટેશન આપે છે, પણ કામ પતી જાય એટલે અમને કોઈ ઓળખતું નથી. મહિલાઓ અને પુરુષો માટે ગેસ, સિલાઈ મશીન કે અન્ય કેટલાય કોર્સ નીકળે છે, પણ અમારા માટે શું? કંઈ જ નથી. અમને પણ ભણી-ગણીને ડોક્ટર કે ટીચર બનવું છે, પણ કોઈ મોકો આપે ત્યારે ને? સુરતમાંથી અત્યાર સુધી કોઈ કિન્નરને ટિકિટ મળી નથી. જો અમારા ઘરેથી એક કિન્નર ઊભો થશે ને તો આખા ઇન્ડિયાના કિન્નરો સપોર્ટ કરવા આવશે, પણ અમને ટિકિટ આપવા કોઈ રાજી થતું નથી. ‘નળમાં ગટરનું પાણી અને કબૂતરના પીંછા આવે છે, નેતાઓ ડોકાતા નથી’ગોડાદરા વિસ્તારમાં રહેતા મહિમા કુંવરે વિસ્તારની બદતર સ્થિતિ અંગે જણાવ્યું કે, અમારે પાણીની બહુ મોટી સમસ્યા છે. નળમાં એટલું ખરાબ પાણી આવે છે કે એ ગટરનું પાણી છે કે પીવાનું એ જ ખબર નથી પડતી. ઘણીવાર પાણીની અંદર જીવાત દેખાય છે તો ક્યારેક મરેલા કબૂતરના પીંછા નીકળે છે. અમે વેચાતું પાણી લાવીએ છીએ અને મહેમાન આવે ત્યારે બીજાના ઘરેથી બોરિંગનું પાણી માંગી લાવીએ છીએ. આજ સુધી કોઈ કોર્પોરેટરે અમારી આ સમસ્યાનું સોલ્યુશન લાવવા દરકાર કરી નથી. અમે તો આજ સુધી કોઈ કોર્પોરેટરને જોયા જ નથી કે જે અમારું આ પાણીનું કોઈ સોલ્યુશન લાવે. પાણીની સમસ્યાથી અમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. કિન્નર સમાજની વેદના: ‘આશીર્વાદ આપનારાના આસુ કોણ લૂછશે?’એક વાત સ્પષ્ટ થાય છે કે, સુરતનો કિન્નર સમાજ હવે જાગૃત થયો છે. તેઓને હવે માત્ર ચૂંટણીના વચનો કે રેલીઓમાં ‘નાચનારા’ તરીકેનો ટેગ મંજૂર નથી. પાયલ કુંવરની ગાંધીનગર સુધી પહોંચવાની ઈચ્છા હોય કે સાહેબા કુંવરની ટિકિટ મેળવવાની જીદ, આ બધું જ દર્શાવે છે કે સમાજની મુખ્યધારામાં ભળવા માટે આ વર્ગ આતુર છે. ગંદા પાણીની સમસ્યા અને અંતિમ સંસ્કાર માટેની જગ્યા જેવા પાયાના પ્રશ્નો જ્યારે હજારોની વસ્તી ધરાવતા સમાજને સતાવતા હોય, ત્યારે તંત્રની ઉદાસીનતા સામે મોટા સવાલો ઉભા થાય છે. ‘દુવા’ આપનારા આ હાથો હવે પોતાના હક માટે ‘અવાજ’ ઉઠાવી રહ્યા છે. સુરતમાં કિન્નરોની વાસ્તવિક સંખ્યા હજારોમાં, મતદાર યાદીમાં માત્ર 115સુરત શહેરમાં વસતા કિન્નરોની સંખ્યા હજારોમાં છે. પરંતુ, મતદાર યાદીમાં નોંધાયેલા કિન્નરોનોઆંકડો ફક્ત 115 છે. સુરતના નાનપુરા, ગોડાદરા અને ડીંડોલી વિસ્તારમાં મોટી સંખ્યામાં કિન્નરો વસવાટ કરે છે. જેઓની મુખ્ય માંગણી, અંતિમ સંસ્કાર માટે જમીન, સ્વચ્છ પાણી, શિક્ષણ-રોજગારમાં અનામત અને રાજકીય પ્રતિનિધિત્વની છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:00 am

એમ.એસ. યુનિ.ની સ્વાયત્તા મુદ્દે સવાલો ઉઠ્યા:કોમન એક્ટ રીફોર્મ કમિટીની બેઠકમાં ડીન સહિત સભ્યોનો બળાપો, તમામ પ્રવેશ જીકાસ કેમ કરે?

સરકારે બે વર્ષ પહેલાં લાગુ કરેલા કોમન એક્ટમાં રિફોર્મ માટે કમિટીના સભ્યે મ.સ.યુનિ.ની મુલાકાત લીધી હતી. કમિટી સમક્ષ ફેકલ્ટી ડીનોએ રજૂઆતો કરી હતી જેમાં બધા એડમિશન જીકાસ કેમ કરે? યુનિવર્સિટી કેમ ન કરી શકે? આ ઉપરાંત મ.સ.યુનિ. અન્ય યુનિવર્સિટી સાથે કોમન કેવી રીતે હોઈ શકે? તેવા સવાલો પણ કર્યા હતા. મ.સ.યુનિવર્સિટી ખાતે પબ્લિક યુનિવર્સિટી એડવાઇઝરી કમિટીના સભ્ય ડો.કેતન દેસાઇએ વીસી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, તમામ ફેકલ્ટીના ડીન, તમામ વિભાગોના વડા સાથે તબક્કાવાર બેઠક કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં વિવિધ ફેકલ્ટીના ડીન અને હેડે રજૂઆતો કરી હતી. જેમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ જે ઇન્ટર્નશિપ કરે છે અને પ્રોજેક્ટ વર્ક કરે છે તેની શિક્ષકોના વર્કલોડમાં કેમ ગણતરી કરવામાં આવતી નથી? નવી એજ્યુકેશન પોલિસીમાં કોર્સ ઓનલાઇન કરવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ ઓનલાઇન કોર્સની ક્રેડિટ ટ્રાન્સફર મળતી નથી. ફેકલ્ટી ડીને રજૂઆત કરતાં કહ્યું હતું કે, બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમિક કાઉન્સિલ તમામ જગ્યાએ કોલેજના પ્રિન્સિપાલ મૂકવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે મ.સ.યુનિ.માં તો પ્રિન્સિપાલનું સ્ટ્રક્ચર નથી. ફેકલ્ટી ડીન છે તો કેવી રીતે જગ્યાઓ ભરવાની? અન્ય યુનિવર્સિટી ગુજરાતી સ્ટ્રક્ચર ધરાવે છે જ્યારે મ.સ.યુનિ અંગ્રેજીમાં છે, તો કેવી રીતે કોમન હોઈ શકે? તમામ સિલેબસ કેસીજીમાં તૈયાર કરવાનો હોય તો એમ.એસ. યુનિ.નું બધું ત્યાં જ લઈ જાવનોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી) દ્વારા સિલેબસ તૈયાર કરવામાં આવતો હોવાથી, મ.સ.યુનિ.ના ડીને તેમની રજૂઆતમાં કહ્યું હતું કે, બધું કેસીજીમાં તૈયાર કરવાનું હોય તો બધું મ.સ.યુનિ.નું ત્યાં જ લઈ જાવ. અહીંયા શું જરૂર છે? ઉલ્લેખનીય છે કે આ સંસ્થા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત છે, જે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ માટે કામ કરે છે. કોમન એક્ટમાં નક્કી કર્યું હતું કે મ.સ.યુનિ.ની સ્વાયત્તા રહેવા દેવાશે, જે રખાઇ નથી2006માં કોમન એક્ટનો અમલ કરવાનો હતો તે વખતે મ.સ.યુનિ.ની સ્વાયત્તા રહેવા દેવાશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. જોકે 2006માં કોમન એક્ટનો અમલ થયો ન હતો. જોકે બે વર્ષ પહેલાં કોમન એક્ટનો અમલ કરાયો પરંતુ તેમાં મ.સ.યુનિ.ને સ્વાયત્તા આપવામાં આવી નથી. વર્કલોડની અવગણના મુદ્દે ડીન-અધ્યાપકોમાં રોષ

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:00 am

બાટલો, બંગડી, બિસ્કિટ સહિતના 209 સિમ્બોલ પર લડાશે ચૂંટણી જંગ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતીકોનો મહાસંગ્રામ, જાણો કઈ પાર્ટી માટે કયું નિશાન?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગે નોંધાયેલા તમામ રાજકીય પક્ષો, તેમના પ્રતીકો તેમજ અપક્ષ ઉમેદવારો માટેના ફ્રી સિમ્બોલની વિગતવાર યાદી જાહેર કરી છે. જેમાં ચૂંટણી પંચે બાટલો, બંગડી અને બિસ્કિટ જેવા સામાન્ય જનજીવન સાથે જોડાયેલા 209 જેટલા ચૂંટણી પ્રતીકો બહાર પાડ્યા છે. જેમાં મુખ્ય રાજકીય પક્ષો પોતાના પરંપરાગત નિશાન સાથે મેદાને ઉતરશે, જ્યારે અપક્ષ અને નાના પક્ષોના ઉમેદવારો માટે આ વિવિધતાસભર સિમ્બોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. તમામ સિમ્બોલ જોવા માટે અહીં ક્લિક કરો Delist કરાયેલા પક્ષ પ્રતીકો જ બનશે જીત-હારનો ફેક્ટરઆ ચૂંટણીમાં પ્રતીકો માત્ર ઓળખ માટે નહીં પરંતુ પ્રચારની વ્યૂહરચનાનો કેન્દ્ર બનશે. 'ગેસ સિલિન્ડર' જેવા પ્રતીકો ધરાવતા ઉમેદવારો મોંઘવારી અને ગેસની અછત જેવા મુદ્દા ઉઠાવી શકે છે. કોમ્પ્યુટર અથવા લેપટોપ ધરાવતા ઉમેદવારો યુવાનોને ટાર્ગેટ કરશે, જ્યારે હાથગાડી, ટાયર જેવા પ્રતીકો મજૂર અને કામદાર વર્ગ સાથે સીધો કનેક્ટ બનાવી શકે છે. કયું પ્રતીક મતદારોના દિલમાં સૌથી વધુ જગ્યા બનાવશે?ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મતદારો માટે પ્રતીક જ મુખ્ય ઓળખ બની રહે છે. તેથી પ્રતીકની પસંદગી અને તેનો પ્રચાર જ ચૂંટણીના પરિણામ પર સીધી અસર કરી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પ્રતીકોનું યુદ્ધ એટલુ જ મહત્વનું છે જેટલુ ઉમેદવારનું, હવે જોવાનું રહેશે કે કયું પ્રતીક મતદારોના દિલમાં સૌથી વધુ જગ્યા બનાવે છે. આગામી 26મી એપ્રિલે મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:00 am

અઢી લાખ શ્રમિકોને પરત લાવવા ઉદ્યોગકારો મેદાને, ગાડીઓ મોકલાશે:શ્રમિકોના પલાયનથી સુરતનો ઉદ્યોગ સૂનો પડ્યો, ફોગવાના પ્રમુખે કહ્યું- ‘અમારા દીકરા સમાન’, તેમના વગર મશીનો ચલાવવા અશક્ય

સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતા શ્રમિકો માટે શહેરના ઉદ્યોગકારોએ દિલ ખોલીને મદદની જાહેરાત કરી છે. યુદ્ધ અને ગેસની અછતના કારણે હિજરત કરી ગયેલા અઢી લાખ શ્રમિકોને પરત બોલાવવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) અને ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) એ મોટી જાહેરાત કરી છે. ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે, જે શ્રમિકો પાસે પરત આવવા માટે સાધનો નથી, તેમને લાવવા માટે ઉદ્યોગ પોતે પરિવહનની વ્યવસ્થા કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હતા, જેની સીધી અસર સુરતના પ્રોસેસિંગ અને વિવિંગ ઉદ્યોગ પર પડી હતી. પરંતુ હાલમાં મળેલા અહેવાલો મુજબ, બંને દેશો શાંતિ મંત્રણા માટે ટેબલ પર આવવા તૈયાર થયા છે અને 15 દિવસનું સીઝફાયર જાહેર કરવામાં આવ્યું છે. આ સમાચારને પગલે ક્રૂડના ભાવમાં પણ બેરલ દીઠ 15 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. પરિણામે, જે ટેક્સટાઇલ યુનિટ્સમાં ઉત્પાદન પર કાપ મૂકવામાં આવ્યો હતો, ત્યાં હવે ફરીથી પૂર્ણ ક્ષમતા સાથે કામ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે. ગેસની અછત દૂર કરવા સરકારનો મોટો નિર્ણયશ્રમિકોના પલાયન પાછળનું એક મુખ્ય કારણ કોમર્શિયલ ગેસની અછત અને તેના વધેલા ભાવો હતા. આ સમસ્યાના ઉકેલ માટે ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર અને ડેપ્યુટી સીએમ સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. સરકારે ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ગેસ પૂરો પાડવાનું આશ્વાસન આપ્યું છે. હાલમાં 2,200 થી 2,500 જેટલા સિલિન્ડરની તાતી જરૂરિયાત ધરાવતી ફેક્ટરીઓનું લિસ્ટિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરી દ્વારા વિતરણની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. શ્રમિકો પરત લાવવા ઉદ્યોગકારો વાહનો મોકલવા તૈયારઘણા શ્રમિકો આર્થિક ભીંસ અથવા પરિવહનની સુવિધાના અભાવે વતનમાં અટવાયા હોય છે. આ અંગે FOGWAના પ્રમુખ અશોક જીરાવાલાએ સ્પષ્ટતા કરી છે કે, જે શ્રમિકો પાસે સુરત આવવા માટે પૂરતા સાધનો નથી, તેમને લાવવા માટે ઉદ્યોગકારો પરિવહનની વ્યવસ્થા કરવા પણ તત્પર છે. જેવી રીતે કોવિડના કપરા કાળમાં ઉદ્યોગોએ પોતાના ખર્ચે શ્રમિકોને સુરત લાવવાની વ્યવસ્થા કરી હતી, તેવી જ રીતે અત્યારે પણ જો કોઈ શ્રમિકોને મુશ્કેલી હશે, તો તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ખાનગી બસો કે અન્ય સાધનોની વ્યવસ્થા કરી આપવામાં આવશે. 2.50 લાખ શ્રમિકોની ફેક્ટરીઓ જોઈ રહી છે રાહતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઉદ્યોગ આવેલી આ સ્થિતિના કારણે અંદાજે 2,50,000 જેટલા શ્રમિકો પોતાના વતનમાં ચાલ્યા ગયા હતા. હવે જ્યારે યાર્નના ભાવમાં સ્થિરતા આવી રહી છે અને પ્રોડક્શન કાપ પાછો ખેંચાઈ રહ્યો છે, ત્યારે શ્રમિકોની ખોટ વર્તાઈ રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે શ્રમિકો અમારા પરિવારના સભ્ય અને દીકરા સમાન છે. તેમના વગર મશીનો ચલાવવા શક્ય નથી, તેથી તેઓ વહેલી તકે પરત ફરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. ફેક્ટરીઓના માલિકો અત્યારે પોતાના વિશ્વાસુ કારીગરોને ફોન કરીને પરિસ્થિતિ થાળે પડી હોવાની જાણકારી આપી રહ્યા છે. પ્રશાસન અને ઉદ્યોગકારો વચ્ચે સંકલન: ડેટા શેરિંગ શરૂજિલ્લા કલેક્ટર, ડીએસઓ અને ડેપ્યુટી કલેક્ટર સાથે ઉદ્યોગ મંડળો સતત સંપર્કમાં છે. ઉદ્યોગકારોએ જે શ્રમિકો અને એકમોને ગેસની જરૂર છે, તેમનો સંપૂર્ણ ડેટા પ્રશાસનને સોંપી દીધો છે. આ સહકારને કારણે હવે ફેક્ટરીઓ પર જ ડાયરેક્ટ ગેસ સિલિન્ડરો પહોંચાડવાની કામગીરી તેજ બની છે. સરકારના પ્રોત્સાહક અભિગમને કારણે ઉદ્યોગકારોમાં પણ નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં જે રીતે લિસ્ટિંગની પ્રક્રિયા થઈ છે, તેનાથી આગામી સપ્તાહમાં સુરતના પૂર્વ વિસ્તારના કારખાનાઓમાં ફરીથી રોનક જોવા મળશે તેવું લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:00 am

'ચારેય પૂર્વ કોર્પોરેટરોએ મિટિંગ, ઇટીંગ અને ચિટિંગ જ કર્યું':'ભાજપ અઢળક મતોથી જીતે છે તે હાઈફાઈ સોસાયટીમાં પાણીની સમસ્યા', ડ્રેનેજ સહિતની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 7માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ વોર્ડ નં.7માં પહોંચી હતી. જ્યારે સ્થાનિકોમાં વિકાસની વાત કરતાં જ રોષ જોવા મળ્યો હતો. વોર્ડ 7માં આવતા સૌથી પોષ ગણાતો પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા રહીશ નિર્મલ ઠક્કરે જણાવ્યું હતું કે, ભાજપ અઢળક મતોથી જીતે છે તે સોસાયટીમાં પાણીની સમસ્યા છે. અને અમારા વોર્ડના ગત પાંચ વર્ષમાં ચૂંટાયેલા ચારે ચાર કોર્પોરેટરોએ મિટિંગ, ઇટીંગ અને ચિટિંગ જ કર્યું છે. સૌપ્રથમ અમે વડોદરા શહેરમાં આગવી ઓળખ ધરાવતા ટાવર ચાર રસ્તા પાસે આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં પહોંચ્યા હતાં. અહીંના લોકોનું મુખ્ય બે સમસ્યાઓ છે જેમાં ખાસ પીવાનું પાણી મળતું નથી, સાથે અહીંયા ડ્રેનેજની ખુબજ સમસ્યા છે. બાદમાં અમે સલાટવાડા,નાગરવાળા, સહિત બહુચરાજી મંદિર વિસ્તારમાં પહોંચ્યા હતા. આ વોર્ડમાં ખાસ પીવાના પાણી સાથે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. આ સાથે શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમે પોહચ્યા ત્યાં સ્લમ વિસ્તારની વાત તો દૂર પરંતુ ભાજપ જ્યાંથી અઢળક મત મેળવે છે તેવી હાઈફાઈ સોસાયટીમાં પણ આજે પાણીની સમસ્યા સામે આવી છે. 'પાણી આવતું જ નથી, રજૂઆત કરીએ છતાં કોઈ સાંભળતું નથી'પ્રથમ અમે વોર્ડ 7માં આવેલ મચ્છીપીઠ વિસ્તાર કે જ્યાં ચોમાસામાં માત્ર એક બે ઇંચ વરસાદમાં રોડ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જાય છે. અહીંના સ્થાનિક આસિફભાઈ શેખે જણાવ્યું હતું કે, હું રાવપુરા વિસ્તારમાં આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં રહું છું. અહીંયા પાણીની સમસ્યાથી, અહીંયા પાણી આવતું જ નથી. અમે વર્ષ 2024થી રજૂઆત કરીએ છીએ છતાં કોઈ સાંભળતું નથી. અમે છેલ્લા બે વર્ષથી રજૂઆત કરીએ છીએ, અહીં એન્જિનિયર આવે છે અને ઊંડી ટાંકી બનાવવાની વાત કરે છે. આ વિસ્તારમાં થોડી ઊંડી ટાંકી બને તેઓનામાં જરા પણ સમાજ નથી. અહીંયા વરસાદનું પાણી છેક સુધી આવે છે. અહીંયા જે કોઈ આવશે તેને અમે રજૂઆત કરીશું. જે કામ કરશે તેને અમે વોટ આપીશું. 'ડ્રેનેજની સમસ્યા છે, કોર્પોરેટરને અમે ક્યારેય જોયા નથી'સ્થાનિક સલીમ શેખે જણાવ્યું હતું કે, વિકાસ તો થયો છે, પરંતુ એવી જગ્યાએ થયો છે કે જ્યાં સારી સારી સોસાયટીઓ છે ત્યાં વધારે વિકાસ કર્યો છે. પરંતુ મહોલ્લા જેવા કે નાગરવાડા, સલાટવાડા, મચ્છીપીઠ વિસ્તારોમાં સમસ્યાઓ છે. અહીંયા ડ્રેનેજની સમસ્યા છે, એકવાર કામ કરે છે પછી બીજી જગ્યાએ આજ પરિસ્થિતિ ઊભી થાય છે. ડ્રેનેજની સમસ્યા અને રોડ રસ્તો સહિત સાફ સફાઈ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. માત્ર સારી સોસાયટીઓનો વિકાસ કરવો તે વિકાસ નથી જેમાં મહોલ્લા પણ આવે છે. જોવા જઈએ તો કોર્પોરેટરને અમે ક્યારેય જોયા નથી. 'કોર્પોરેશન પાયાની મૂળ સુવિધાઓ સામે ડબલ ટેક્સ વસૂલે છે'વધુમાં કહ્યું કે, અહીંયા કોર્પોરેશનની પાયાની સુવિધાઓ મળતી નથી. અહીંયા સાફ સફાઈ વાળા સવારે અંધારામાં વહેલા આવે છે અને લોકો ઊઠે ત્યારે સાફ સફાઈ કરી જતા રહે છે. બાદમાં લોકો અહીંયા કચરો નાખે છે અને આખો દિવસ ફર્યા કરે છે. અને કોર્પોરેશન પાયાની મૂળ સુવિધાઓ સામે ડબલ ટેક્સ વસૂલે છે. 'અહીંયા આવેલી કેટલીયે સોસાયટીમાં ભયંકર પીવાના પાણીની સમસ્યા છે'આ સાથે વોર્ડ સાતમા આવતા સૌથી પોષ ગણાતો પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા રહીશ નિર્મલ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રહેલી સોસાયટીના નામજોગ જાણવું કે આ વિસ્તારના લોકો કેટલી હાલાકીમાં જીવી રહ્યા છે. હું માત્ર સ્લમ વિસ્તારની વાત નથી કરતો હું સોસાયટી વિસ્તારમાં જે જ્યાં ભારતીય જનતા પાર્ટી અઢળક મતોથી જીતે છે તે સોસાયટીમાં પાણીની સમસ્યા છે. અહીંયા આવેલી કેટલીયે સોસાયટીમાં ભયંકર પીવાના પાણીની સમસ્યા છે. ‘ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરોને એવું છે કે રામના નામે મત લઈ જીતી જઈશું’વધુમાં કહ્યું કે, દર વખતે દીપિકા ગાર્ડનના રોડ પર હજારો લોકો મોર્નિંગ વોકમાં આવે છે ત્યાં જ ભુવા પડે છે અને આ માટે આંદોલન કરવાથી તેનું નિરાકરણ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોને એવું છે કે રામના નામે મત લઈ જીતી જઈશું. આ વિસ્તારમાં ક્યારે કોઈના ફોન ન ઉપાડવા અને કોઈને ત્યાં જવું નહીં, જે સિલસિલો યથાવત છે. પરંતુ આ વર્ષે હું દાવા સાથે કહું છું કે આ વર્ષે લોકોમાં બદલાવ છે, જેના કારણે ભાજપને બહુમતી મળે તેવી શક્યતાઓ નથી. 'કોર્પોરેટર દેખાતા નથી, પિક્ચરની જેમ ગાયબ થઈ ગયા'આ સાથે એની એક સ્થાનિક યોગેન્દ્ર બારોટે જણાવ્યું હતું કે, અહીંયા ચાર પૈકી ત્રણ કોર્પોરેટર દેખાતા નથી. આ વિસ્તારમાં લાઇટ બંધ થઈ જાય, પાણી ન આવે, સફાઈ કર્મચારી ન આવે તો અમે કોલ કરીએ તો કોઈ કોલ ઉપાડતા નથી. તેઓ પિક્ચરની જેમ ગાયબ થઈ ગયા, અહીંના લોકો રજૂઆત માટે વોર્ડ કચેરીએ જાય છે છતાં કામ થતું નથી. અત્યારે ચૂંટણી આવી રહી છે જેથી આવા લોકોને વોટ જ ન આપવો જોઈએ, સારા વ્યક્તિને ઉમેદવાર તરીકે લાવવા જોઈએ જેથી વિસ્તારના લોકોનું કામ થાય. 'મંદિર અને મસ્જિદ કરી વોટ માંગવામાં આવે છે'આ અંગે વોર્ડ 7માં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાજેશ પટણીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સૌથી મોટી પીવાના પાણીની સમસ્યા છે, લોકો પાણીની સમસ્યાથી ત્રાસી ગયા છે. અહીંયા રોડ રસ્તાની સ્થિતિ ખરાબ છે, અહીંયા મચ્છરનો ત્રાસ વધારે છે. અહીંયા ત્રણ ટર્મ સુધી ધારાસભ્યો બદલાઈ ગયા છે છતાં સાધનનગર વિસ્તારમાં પાછળનો રોડ હજુ સુધી બન્યો નથી. વોર્ડની સમસ્યાઓ બહુ બધી છે. અહીંયા ચાર ચાર કોર્પોરેટર રહ્યા છતાં કોઈ લોકો ઓળખાતા નથી. મત લઈ અને સેવાનું કામ કરવાની જગ્યાએ ઘરમાં બેસી રહે છે. ખાલી ભાજપ ચૂંટણી લડવા માટે તેઓ બહાર આવે છે, અહીંયા મંદિર અને મસ્જિદ કરી વોટ માંગવામાં આવે છે, કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી. 'વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાય છે'વધુમાં કહ્યું કે, પૂરની સ્થિતિમાં અહીંના વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. અહીંયા સર્વે કરી લોકોને આશ્વાસન આપવામાં આવે છે છતાં કોઈને રૂપિયો મળ્યો નથી.આ વિસ્તારમાં પૂરમાં પાણી ભરાવાથી સોફા, ટીવી સહિતની વસ્તુઓ લોકોને ફેંકી દેવાનો વારો આવ્યો હતો. ત્રીસ વર્ષથી મંદિર અને મજીદના નામે મત લીધા છે. હાલમાં લોકો જાગૃત થયા છે અને તેનું પરિણામ આપશે. 'રોડ રસ્તો અને પાણી ડ્રેનેજની સુવિધા સારી'નાગરવાડા વિસ્તારમાં આવેલા નવી ધરતીમાં રહેતા મહેશ રાણાએ જણાવ્યું હતું કે, વિકાસ સારો થયો છે, તે ભાજપના કોર્પોરેટર હોય કે કોંગ્રેસના હોય. હાલમાં રોડ રસ્તો અને પાણી ડ્રેનેજની સુવિધા સારી છે. ખાલી ગેસ લાઇન માટે ખોદકામ ચાલી રહ્યું છે. અમારે આગમી વર્ષોમાં પણ આજ રીતે ચાલવું જોઈએ તેવું ઇચ્છી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:00 am

'કોર્પોરેટરોએ ઓફિસમાં બેસીને વહીવટ કર્યાં છે':'5 વર્ષમાં કોઈ ડોકાયું નથી,'ઉનાળામાં રોજ પાણીના ટાંકા મંગાવવા પડે'; ગંદકીના સામ્રાજ્ય અને ચોમાસામાં પાણી ભરાવાથી રહીશો ત્રાહિમામ

આગામી 26 એપ્રિલે યોજાનારી મહાનગરપાલિકાની ચુંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા લોકોનો મિજાજ અને સમસ્યાઓ જાણવા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વોર્ડ નં-3ના પોપટપરા, રેલનગર અને વિવેકાનંદ નગર તેમજ 53 ક્વાર્ટર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ડે. મેયરના આ વિસ્તારમાં પણ લોકોને પીવાના અપૂરતા પાણી અને ગંદકીને લઈ વકરી રહેલા રોગચાળાની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. દિવ્યભાસ્કરની ટીમે સૌપ્રથમ સેન્ટ્રલ જેલની પાછળ આવેલા સ્વામી વિવેકાનંદનગરની મુલાકાત લીધી હતી. જેમાં આ વિસ્તારમાં સફાઈનો સદંતર અભાવ હોવાનું સામે આવ્યું હતું. એકતરફ તંત્ર દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, બીજી તરફ કેટલાક લોકો પણ આડેધડ કચરો નાખતા હોવાથી આસપાસમાં રહેતા લોકો માટે મોટી સમસ્યા ઉભી થઈ છે. આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નહીં હોવાનો સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ વોર્ડમાં સૌથી મુખ્ય સમસ્યા પોપટપરાના નાલામાં વરસાદી પાણી ભરાઈ જવાની છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણીએ પણ આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપનાં નેતાઓ લોકોની સમસ્યા જાણવા ફિલ્ડમાં જવાને બદલે ઓફિસમાં બેઠા-બેઠા જ વહીવટ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ રેલનગરના અન્ડરબ્રિજમાં વગર વરસાદે વર્ષમાં 8 મહિના ભરાતા પાણી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે ભાજપના નેતાએ આ સમસ્યાઓ મહદઅંશે હલ થઈ ચૂકી હોવાનો દાવો કર્યો હતો. 'કચરાની ગાડી 8-10 દિવસે આવે'પોપટપરા વિસ્તારના હેતલબેને જણાવ્યું હતું કે, છેલ્લા 3-4 દિવસથી તેમના ઘર પાસે કચરાના ઢગલા ખડકાયા છે. કચરો સમયસર ન ઉપાડવામાં આવતો હોવાથી આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે નાના બાળકો બિમાર પડી રહ્યા છે. કચરો લેવા આવતી ગાડી પણ 8-10 દિવસે એકાદ વાર જ આવે છે. આ સમસ્યા હલ કરવા કોઈ કોર્પોરેટર આવતા પણ નથી અને સ્થાનિકોની મુશ્કેલીઓનો કોઈ ઉકેલ આવતો નથી. 'સફાઈ ન થતી હોવાથી જંગલ જેવી સ્થિતિ'સ્થાનિક નીતાબેન પરમારે જણાવ્યું હતું કે, ગટરના પાણી ઉભરાય છે અને મચ્છરોનો પણ ભારે ત્રાસ છે અને જંગલ જેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે. ચૂંટણી સમયે નેતાઓ મત લેવા માટે આવે છે અને કામ કરી દેવાના વાયદાઓ પણ આપે છે, પરંતુ કોઈ કામ થતું નથી. 'સમસ્યા જાણવા કોઈ ડોકાયું નથી' સ્વામી વિવેકાનંદનગર વિસ્તારના સ્થાનિક જશુભાઈએ આક્ષેપ કર્યો છે કે, સ્થાનિક કોર્પોરેટરો સહિતના પ્રતિનિધિઓ સામે રોષ વ્યક્ત કર્યો. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય અમારા આ વિસ્તારની સમસ્યાઓ જાણવા કોઈ ડોકાયું પણ નથી. તો રંજનબેને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ગાડીઓ દર 15થી 20 દિવસે એકવાર કચરો લેવા આવે છે. આટલા લાંબા સમય સુધી કચરો પડી રહેવાના કારણે વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. 'સ્પીડબ્રેકર ન હોવાથી બાળકોને અકસ્માતનો ડર'રેલનગર-2 વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી રોડનું કામ અટકેલું હતું. લાંબા સમય બાદ હવે જ્યારે નવો રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે તે ખૂબ જ ઊંચો રાખવામાં આવ્યો છે. જેના કારણે ચોમાસામાં અહીં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. સ્થાનિક ધર્મિષ્ઠાબા જાડેજાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ચાર ચોક વચ્ચે સ્પીડબ્રેકર નથી, જેના કારણે વાહનો ખૂબ જ ઝડપથી પસાર થાય છે. અહીં બાળકો રમતા હોય ત્યારે સતત અકસ્માતનો ડર રહે છે અને અમારે તેમનું ખાસ ધ્યાન રાખવું પડે છે. 'કોર્પોરેટરો ક્યારેય પ્રશ્નો સાંભળવા આવ્યા નથી'પ્રીતિબેન રાઠોડે જણાવ્યું હતું કે, કોર્પોરેટરોને તો અમે ઓળખતા પણ નથી. કારણ કે તેઓ ક્યારેય અમારા પ્રશ્નો સાંભળવા આવ્યા નથી. ચૂંટણી સમયે મોટા-મોટા વાયદા કરવામાં આવ્યા હતા, પણ અત્યારે પરિસ્થિતિ ઠેરની ઠેર છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે:વિજયાબા જાડેજાકોંગ્રેસના મહામંત્રી અને આ વિસ્તારમાં વર્ષોથી રહેતા વિજયાબા જાડેજાએ જણાવ્યું હતું કે, અલ્પાબેન, કુસુમબેન અને નરેન્દ્રસિંહ જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ અમારા વિસ્તારની સમસ્યાઓ તરફ ધ્યાન આપ્યું નથી. કોર્પોરેટરોએ શનિ-રવિના સમયમાં ઘરે-ઘરે જઈને લોકોની મુશ્કેલીઓ જાણવી જોઈએ. કોંગ્રેસના અતુલભાઈ અને ગાયત્રીબા જે રીતે લોકોની વચ્ચે રહીને કામ કરતા હતા, તે રીતે આ પ્રતિનિધિઓ પણ તેમની ફરજ નિભાવે તે જરૂરી છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ દ્વારા કોઈ પણ કામો કરવામાં આવ્યા ન હોવાથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે. 'ચારેય ઉમેદવાર જીતીશે તો તમામ પ્રશ્નો ઉકેલીશું'મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે રેલનગર અંડરબ્રિજ અને પોપટપરાના નાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાથી માર્ગો બંધ થઈ જાય છે. ઉપરાંત રેલવે પ્રિમાઈસીસની પાછળનો રસ્તો બનાવવાની પણ જરૂરિયાત છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના કોર્પોરેટરો લોકોની વચ્ચે દેખાયા નથી, માત્ર ઓફિસોમાં બેસીને વહીવટ કર્યો છે. કોંગ્રેસની પેનલના તમામ 4 ઉમેદવારો વિજયી થશે તો સફાઈ અને પાણી સહિતના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે. 'લોકોના આશીર્વાદ મળ્યા તો 100 દિવસમાં સમસ્યા ઉકેલીશું'AAPના વોર્ડ નંબર 3ના ઉમેદવાર પરેશ દુલાણીએ જણાવ્યું હતું કે જો જનતાના આશીર્વાદ અને પ્રેમથી તેઓ ચૂંટણી જીતશે, તો પ્રથમ 100 દિવસમાં જ દરેક વિસ્તારમાં માઈક સાથે ફરીને લોકોની વ્યક્તિગત સમસ્યાઓ જાણશે અને તેનો ઉકેલ વહેલી તકે લાવવા માટેના પ્રયત્નો કરશે. અત્યારે માત્ર ચૂંટણીના સમયે જ નવા રસ્તા બનાવવામાં આવ્યા છે. 'વોકળા પર ગેરકાયદે મકાનો બની ગયા'આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગીતાબા જાડેજાએ વિસ્તારની મુલાકાત લઈ લોકોની વેદના સાંભળી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વોકળા પર ગેરકાયદે મકાનો બની ગયા હોવાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે. અમે ચૂંટાઈને આવશું તો તાત્કાલિક આ વિસ્તારનાં લોકોની સમસ્યા હલ કરવા પ્રયાસ કરીશું. આખા વોર્ડમાં DI પાઈપલાઈનનું નેટવર્ક:હેમુભાઈ પરમારભાજપ આગેવાન હેમુભાઈ પરમારે જણાવ્યું હતું કે, રેલનગર અને માધાપર જેવા નવા ડેવલપ થતા વિસ્તારોમાં પૂર્વ કોર્પોરેટરો અને ધારાસભ્યોના સહયોગથી અનેક વિકાસલક્ષી કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં આખા વોર્ડમાં DI પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવાની સાથે રેલનગર વિસ્તારમાં 80 લાખથી વધુના ખર્ચે મોટા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં નવા 5 થી 7 ગાર્ડન બનાવવામાં આવ્યા છે. રેલનગર અને માધાપરમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાળકો માટે 5 નવી આંગણવાડી પણ શરૂ કરાઈ છે. 'રેલવે ટ્રેક નીચે 4 પાઈપ નાખવાનું આયોજન પૂર્ણ'હંસરાજનગર અને પોપટપરા વિસ્તારમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ અંગે હેમુભાઈએ કહ્યું હતું કે, રેલવે તંત્ર અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં હંસરાજનગરથી આવતા પાણીના નિકાલ માટે રેલવે ટ્રેક નીચે 4 પાઈપ નાખીને બાયપાસ કરવાની કામગીરીનું આયોજન પૂર્ણ થઈ ગયું છે. જે માટે કોર્પોરેશન દ્વારા રેલવેને રૂ. 4 કરોડથી વધુની રકમ ચૂકવવા માટે પત્ર પણ આપી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મ્યુ. કમિશ્નર અને DRM કક્ષાએ આ પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પોપટપરાના નાલામાં અગાઉ 15-15 દિવસ સુધી ગંદા પાણી ભરાઈ રહેતા હતા, જે સમસ્યા અંગે ધારાસભ્ય અને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી ભૂગર્ભ પાઈપ લાઈનના આયોજન દ્વારા ઉકેલવામાં આવી છે. જેના કારણે હવે વરસાદ બંધ થયાના માત્ર 2થી 3 કલાકમાં જ પાણીનો નિકાલ થઈ જાય છે. ઈન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, જીમ બનાવવા વિચારણાઆગામી સમયના આયોજન અંગે વાત કરતા હેમુભાઈ પરમારે જણાવ્યું હતું કે, રેલનગર વિસ્તારમાં રૂ. 7 કરોડના ખર્ચે નવો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. આ સાથે આગામી બજેટમાં આ વિસ્તારના રહીશો માટે ઈન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ અને બહેનો માટે ખાસ જીમ જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવાની વિચારણા પણ હાથ ધરવામાં આવી છે. જંકશન પ્લોટ, ગાયકવાડી અને હંસરાજનગર જેવા વિસ્તારોમાં ટીપી રોડ અને સોસાયટીઓમાં પેવિંગ બ્લોકના કામો પણ મોટા પાયે પૂર્ણ કરવામાં આવ્યા છે. છેલ્લા 22 વર્ષથી તેમની ઓફિસ દ્વારા આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડ જેવી પાયાની જરૂરિયાતો માટે સતત સેવા પૂરી પાડવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:00 am

કોણ છે પૂર્વ IPS મનોજ નિનામા?:ક્લાર્ક, સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર, નાયબ કલેક્ટર તરીકે નોકરી કરી; જેલમાં કેદીઓ માટે હીરા ઘસવાના મશીન લઇ આવ્યા

મનોજ નિનામા...ગુજરાત પોલીસ વિભાગના એ અધિકારી જેના નામની આગળ IPS લાગતું પણ 7મી તારીખથી સંજોગો બદલાયા છે. હવે તેમના નામની આગળ પૂર્વ IPS લખવું પડે કેમ કે સરકારે તેમનું સ્વૈચ્છિક રાજીનામું સ્વીકારી લીધું છે. નિનામા 31મી મેએ રિટાયર થવાના હતા. અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે તેવામાં નિનામાએ વહેલાં નિવૃત્તિ લઇ લેતાં તેઓ રાજકારણમાં ઝંપલાવશે તેવી અટકળો તેજ બની છે. આસારામ કેસમાં રચાયેલી SIT હોય કે પછી વડોદરાના હરણીકાંડમાં રચાયેલી SIT, સરકારે હંમેશા નિનામા પર ભરોસો કર્યો છે. સરકારનો આ ભરોસો તેમને ટિકિટના રૂપમાં ફળે તો નવાઇ ન પામતા. જો આવું થયું તો અત્યાર સુધી ગુનેગારોને દંડા મારીને સીધા દોર કરનારા આ અધિકારી હવે ગલીએ-ગલીએ મત માંગતા નજરે પડશે. મનોજ નિનામા કોણ છે? તેમણે શું અભ્યાસ કર્યો? પરિવારમાં કોણ છે? પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન કયો કેસ યાદગાર રહ્યો? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેઓ પોતાના વતનમાં હતા. વતનમાં શાળા નહોતીમનોજ નિનામાનું મૂળ વતન શામળાજી તાલુકાનું જાબ ચિતરિયા ગામ છે. આ ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. અહીંથી રાજસ્થાન ફક્ત 2 કિલોમીટર જ દૂર થાય છે. એ સમયે તેમના વિસ્તારમાં શાળાની વ્યવસ્થા નહોતી. તેમણે આશ્રમ શાળાથી અભ્યાસ શરૂ કર્યો હતો અને ધો. 1થી 4 સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. ગાંધીનગરથી LLBનો અભ્યાસ કર્યોધો.12 પછી 1985માં તેમને ક્લાર્કની નોકરી મળી હતી છતાં તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ગાંધીનગરની સરકારી વાણિજ્ય કોલેજમાંથી B.com કર્યું હતું બાદમાં ગાંધીનગરની લૉ કોલેજમાંથી LLB કર્યું હતું. 1996માં Dysp તરીકે નિમણૂક બાદ તેઓ ટ્રેનિંગ માટે જૂનાગઢ ગયા હતા. એ પછી ઘણા જિલ્લા અને યુનિટમાં કામ કર્યું ત્યારબાદ SP, DIGથી સુધીની સફર રહી. પોલીસ વિભાગમાં તેમણે 42 વર્ષ સુધી ફરજ બજાવી છે. 8 વખત GPSCની પરીક્ષા આપીમનોજ નિનામાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અમારા સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. હું ટ્રાઇબલ એરિયામાંથી આવતો હતો. ઘણી મુશ્કેલીઓ હતી જેમ કે ટ્રાન્સપોર્ટેશન નહોતું, સ્કૂલ નહોતી. હું કોઇ કોન્વેન્ટ સ્કૂલનો નહીં પણ આશ્રમ શાળાનો વિદ્યાર્થી હતો. માધ્યમિક સ્કૂલ માટે 8 કિમી ચાલીને જવું પડતું. 12માં ધોરણ પછી સરકારી હોસ્ટેલમાં જતો રહ્યો હતો. ગાંધીનગર અને અમદાવાદ શિફ્ટ થયો ત્યારે હોસ્ટેલની વ્યવસ્થા સરકાર તરફથી મળી. જેથી એજ્યુકેશન આગળ વધ્યું. અમુક મિત્રોનું પ્રોત્સાહન મળ્યું એટલે GPSC અને અન્ય પરીક્ષાઓ આપવાની શરૂ કરી. મેં વર્ષ 1988થી 1995 સુધી 8 વખત GPSCની પરીક્ષા આપી હતી. તેઓ જ્યારે ક્લાર્ક હતા ત્યારે અધિકારીઓએ ઘણું પ્રોત્સાહન આપ્યું હતું કે તારી નાની ઉંમર છે, ઘણો આગળ વધી શકીશ. ગ્રેજ્યુએશન પૂરું કર. એ પછી GPSC કર. આમ તેઓ આગળ વધ્યા હતા. બહેન સરકારી શાળામાં શિક્ષિકાતેમના પિતાનું નામ લલ્લુભાઇ અને માતાનું નામ વિલુબેન છે. મનોજ નિનામા કહે છે કે, મારા માતા-પિતા તો ભણેલા નહોતા. અશિક્ષિત હોવાથી એમને શું ખબર પડે? પરિવાર ખેતી સાથે જોડાયેલો હતો. હું એક પુત્ર હતો. મારી એક બહેન છે. હું ભણ્યો એ પછી બહેન પણ ભણ્યા. જે અત્યારે અમદાવાદમાં સરકારી શાળામાં શિક્ષિકા છે. ભૂકંપ સમયે તંબૂમાં રહીને કામ કર્યુંતેમણે અમદાવાદમાં ઝોન-2 DCP તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ IBમાં પણ હતા. 2001ના ભૂકંપ વખતે તેમનું પોસ્ટિંગ કચ્છમાં હતું. તેમણે અઢી વર્ષ સુધી તંબૂમાં રહીને કામ કર્યું હતું. તોફાનો કન્ટ્રોલ કરવાના સમયને તેઓ કપરો સમય માને છે. તેમની કારકિર્દીના યાદગાર કેસોની તપાસના લિસ્ટમાં આસારામ કેસ પણ છે. તેમણે કહ્યું કે, લાઇફમાં યાદ રાખી શકાય એવા ઇન્વેસ્ટિગેશન હોય તો આસારામ રેપ કેસનું ઇન્વેસ્ટિગેશન હતું. એ ઇવેસ્ટિગેશન મેં કરેલું. મારી આગેવાનીમાં SIT રચાઇ હતી. કાનન દેસાઇ, દિવ્યા રવિયા, તોરલ પટેલ, કે.પી.જાડેજા અને પીઆઇ ગોહિલ તેમાં હતા. આસારામને જોધપુરથી અમદાવાદ લાવનાર હું જ છું. એ સમયે આ બહુ ચકચારી કેસ હતો અને મેં તેની કસ્ટડી લીધી હતી. આસારામ આશ્રમમાં 12 લાખ લોકોને જોયેલા'તપાસ દરમિયાન એક તો શું પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી. એ વખતે આસારામનું વર્ચસ્વ કેટલું હતું? તેના આશ્રમમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે 12 લાખ લોકોને મેં જોયેલા છે. આ તેની તાકાત હતી. તેની ધરપકડ કરવી એ સરકાર અને અમારી સામે પડકાર હતો પણ મેં એ પડકાર ઝીલી લીધો. અમે તેની ધરપકડ કરીને લઇ આવ્યા. તપાસ પૂરી કરીને ચાર્જશીટ કરી હતી. કેસ પણ ચાલ્યો હતો અને આસારામને જન્મટીપ થઇ હતી.' 'એ વખતે પોલીસ અધિકારીઓને ધમકી નહોતી મળતી પણ સાક્ષીઓને ધમકી મળતી હતી. અમે તેમનું ઘણું ધ્યાન રાખ્યું હતું તેમ છતાં 2-3 લોકો પર પાછળથી હુમલા થયા હતા.' 3.5 વર્ષ સુધી લાજપોર જેલના સુપરિન્ટેન્ડન્ટનિનામાએ સુરતની લાજપોર જેલના સુપરિન્ટેન્ડન્ટ તરીકે 3.5 વર્ષ સુધી ફરજ બજાવી હતી. એ સમયે કેદીઓની પરિસ્થિતિ ખરાબ હતી. કેદીનો પરિવાર કેવી મુશ્કેલીમાં મુકાઇ જાય તેનો અનુભવ થયા પછી તેમણે કેદીઓની જીવનશૈલી સુધારવા માટે કામ શરૂ કર્યું હતું. જેલમાં હીરા ઘસવાના મશીન લાવ્યાતેમણે સુરતની ડાયમંડ કંપનીઓ સાથે ટાઇઅપ કરીને હીરા ઘસવાના 60 મશીન જેલમાં વસાવ્યા હતા. જેમાં 120 કેદીઓ કામ કરતા હતા. એક કેદીને મહિને ઓછામાં ઓછા 7 હજાર અને વધુમાં વધુ 20 હજાર રૂપિયા મળતા હતા. કેદીઓને મળતા ભોજનની ગુણવત્તા સુધારવા માટે તેમણે સ્થાનિક NGO અને દાતા સાથે મળીને 1 કલાકમાં 1 હજાર રોટલી આપે તેવા મશીન જેલમાં વસાવ્યા હતા. આ મોડલ જોઇને ગુજરાત સરકારે દરેક જેલમાં મશીનોની ફાળવણી કરી હતી. તેમણે કેદીઓના સ્વાસ્થ્ય માટે જેલમાં જ જિમ બનાવ્યું હતું. આ ઉપરાંત સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પણ બનાવ્યું હતું જેમાં કેદીઓ વોલીબોલ, ક્રિકેટ, ટેબલ ટેનિસ વગેરે જેવી રમત રમતા હતા. કેદીના બાળકોની ફીની વ્યવસ્થા કરીતેમણે કેદીઓ માટે ગાર્ડનિંગ પણ શરૂ કર્યું હતું. સરકાર તથા સંસ્થાઓને વચ્ચે રાખીને ટેક્સટાઇલ મશીનો વસાવ્યા હતા. કેદીને જે કમાણી થાય તેમાંથી 50% વેલ્ફેર ફંડમાં જતી અને બાકીની 50% રકમ કેદીને મળતી. જો કોઇ કેદીના બાળકની ફી ભરી ન ભરી શકાય તો સામાજિક સંસ્થાઓની મદદ લઇને ફી ભરી આપતા હતા. સુરતમાં આવેલી સવાણી ગ્રુપની યુનિવર્સિટી થકી જેલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરાવ્યું. ધો. 8-9 સુધી ભણેલા કેદીઓને 10માં અભ્યાસ કરાવ્યો. 70થી વધુને SSC, 20થી વધુને HSC સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. જેલમાં લાયબ્રેરી અને ગૌશાળા બનાવીતેઓ કહે છે કે, પહેલાં તો જેમ શોલે ફિલ્મમાં બતાવી છે તેવી જેલ હતી પણ મેં લાયબ્રેરી શરૂ કરી. અત્યારે તેમાં 18 હજાર પુસ્તકો છે. 2 ગાય લાવીને ગૌશાળા શરૂ કરી હતી. અત્યારે 60 ગાયો અને 40 વાછરડા છે. એનું તમામ દૂધ ફક્ત કેદીઓ માટે જ વપરાય છે. કોરોના આવ્યો ત્યારે સુરતની એક જ જેલ એવી હતી કે જ્યાં એકપણ કેસ નહોતો આવ્યો. સુરતની જેલમાં કામગીરી બાદ તેમને DIG તરીકે પ્રમોશન મળ્યું હતું. રાજકારણમાં જોડાવાનો સંકેતનિનામાએ ઉમેર્યું કે, રાજકારણમાં જોડાવાનું હજુ નક્કી નથી. 42 વર્ષ સરકારને આપ્યા છે. હવે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની છે. શિક્ષણ અને આરોગ્ય માટેની પ્રવૃત્તિ ચાલે છે એમાં સમય આપીશ. એવું લાગશે કે આ કામગીરી કરવા કોઇ પ્લેટફોર્મની જરૂર છે, કોઇ રાજકીય પક્ષ મારા વિચારો સાથે સંમત થાય છે તો હું તેમાં જોડાઇશ. ઉલ્લેખનીય છે કે નિનામાએ રાજીનામું આપ્યું ત્યારે તેઓ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં IGP હતા.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:00 am

SP ચૌધરી અસલમની પત્નીએ 'ધૂરંધર'ની કમાણીમાં ભાગ માગ્યો:કહ્યું- આદિત્ય રૂ.25 કરોડ આપે; રહેમાન ડકૈતની ધમકી, દાઉદ કનેક્શન, લ્યારીના વિશે નૌરિન ચૌધરીની સ્ફોટક વાતો

બોલિવૂડની ફિલ્મ ધૂરંધર હાલમાં ભારત અને પાકિસ્તાન એમ બંને દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સંજય દત્તે પાકિસ્તાનના ખુંખાર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એસપી ચૌધરી અસલમનું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા છે. પરંતુ શું ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે બધું જ સાચું છે? લ્યારીમાં થતાં ગેંગવોર, તાલિબાનની ધમકીઓ અને દહેશત વચ્ચે ચૌધરી અસલમનું અંગત જીવન કેવું હતું? દિવ્ય ભાસ્કરે ચૌધરી અસલમની પત્ની નૌરિન ચૌધરી સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે ફિલ્મની ભૂલો, દાઉદ સાથેના સંબંધોની સત્યતા અને રહેમાન ડકૈત સામેના ઘર્ષણ વિશે એવા ખુલાસા કર્યા છે જે અત્યાર સુધી દુનિયાથી સાવ અજાણ હતા. તેમણે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર 25 કરોડ રૂપિયાની માગ કરી છે, એ પણ પાકિસ્તાની ચલણમાં. વાંચો, નૌરિન ચૌધરીનો વિસ્ફોટક ઇન્ટરવ્યૂ. દિવ્ય ભાસ્કર: ફિલ્મમાં તમારા પતિનું પાત્ર જોઈને તમને શું લાગ્યું?નૌરિન ચૌધરી: કેરેક્ટનો ખૂબ સરસ છે. સંજય પર સેટ પણ થાય છે. સંજય દત્તે મારા પતિ ચૌધરી અસલમનું કેરેક્ટર ખૂબ સારી રીતે નિભાવ્યું છે. પણ સ્ટોરીમાં કેટલાક વાતો ખોટી દર્શાવવામાં આવી છે. દિવ્ય ભાસ્કર: કઈ વાતો અલગ બતાવી છે?નૌરિન ચૌધરી: ચૌધરી અસલમનું કેરેક્ટર ખૂબ મોટું છે પણ એટલું દર્શાવવામાં નથી આવ્યું. એમનું કામ માત્ર લ્યારી પુરતું સિમિત નહોતું. એમણે કરાચીમાં ઘણા ઓપરેશન પાર પાડ્યા હતા. જેટલા પણ એકાઉન્ટર થયા એમાં એમણે ક્યારેય મેદાન છોડ્યું નથી. લ્યારીને જે રીતે બનાવવામાં આવ્યું છે એવું હકીકતમાં નથી. લ્યારી તો કરાચીનો નાનકડો વિસ્તાર છે. દિવ્ય ભાસ્કર: ફિલ્મમાં ચૌધરી અસલમની સ્ટાઈલ બતાવી છે એમાં ફિલ્મ બનાવનાર કેટલા સફળ રહ્યા છે?નૌરિન ચૌધરી: સ્ટાઇલમાં તો એ લોકોએ 95 ટકા કોપી કરી છે. જ્યારે સંજય દત્ત લ્યારીમાં બેસીને ચા પીવે છે, ગાડીમાં આંખ ઉપર ઉઠાવીને જુઓ છે એ.. ગેટઅપ.. બધુ જ જોરદાર છે. મારા બાળકોએ ફિલ્મ નથી જોઈ. તેઓ કહે છે કે પિતાને બહુ ક્રૂર બતાવવામાં આવ્યા છે. મેં કહ્યું કે સંજય દત્તની એક્શન જ જોઈ લ્યો, તમને લાગશે તે તમારા પિતા જ છે. દિવ્ય ભાસ્કર: સંજય દત્ત વિશે ચૌધરી અસલમનું શું માનવું હતું?નૌરિન ચૌધરી: એ તો સંજય દત્તને ખૂબ પસંદ કરતા હતા. જ્યારે એમણે ખલનાયક ફિલ્મ જોઈ ત્યારે સંજય દત્તના ખૂબ વખાણ કર્યા હતા. બોલિવૂડની એક ફિલ્મ છે મેરે બાપ… આ ફિલ્મ તેમણે સાતથી આઠ વખત જોઈ છે અને જ્યારે પણ જોઈ ત્યારે રડતા હતા. દિવ્ય ભાસ્કર: શું તમે વિચાર્યુ હતું કે ચૌધરી અસલમ પર ફિલ્મ બનશે?નૌરિન ચૌધરી: મેં તો આવું નહોતું વિચાર્યું. પણ મારા પતિ ચૌધરી અસલમે કહ્યું હતું કે એક દિવસ જો જે મારા પર ફિલ્મો બનશે. દિવ્ય ભાસ્કર: કયો એવો સીન છે જેમાં જે જોઈને તમને અસલમ ચૌધરીની યાદ આવી ગઈ?નૌરિન ચૌધરી: ત્રણ-ચાર સીન એવા હતા જ્યારે મને લાગ્યું કે મારી નજર સામે મારા પતિ અસલમ જ છે. પણ જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય છે ત્યાંથી મેં ફિલ્મ જોવાની છોડી દીધી. હું આગળ જોઈ ન શકી. એક સીન ખોટો છે જ્યારે તેઓ બલોચના બાળકોને મારે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે અસલમ બલોચોનો દુશ્મન છે પણ હકીકતમાં એવું નથી. તેઓ જેટલા પણ ક્રિમિનલ છે એમની વિરોધમાં હતા. બાળકો સાથે તેમણે ખોટું વર્તન જીવનમાં ક્યારેય નથી કર્યું. દિવ્ય ભાસ્કર: તમારી ક્યારેય રહેમાન ડકૈત સાથે વાતચીત થઈ હતી?નૌરિન ચૌધરી: જરૂરી હતું કે ફિલ્મ બનાવતા પહેલાં મને એમને કેરેક્ટર વિશે પૂછવામાં આવ્યું હોત. તો ઘણી બધી અજાણી વાતો પણ સામે આવી શકી હોત. તેઓ જેલમાં ગયા હતા ત્યારે બહારનું બધુ હું ડિલ કરતી હતી. હું રહેમાન ડકૈતના એરિયામાં પણ ગઈ છું. ત્યારે મારો પીછો કરવામાં આવ્યો હતો. એટલે હું અને મારો ડ્રાઇવર ગાડી લઈને ભાગી નીકળ્યા. ઘણી બધી બાબતો તો મેં પણ ચૌધરી અસલમને નહોતી જણાવી. એક રાત્રે મને રહેમાન ડકૈતે ધમકી આપી હતી. રૂબરૂમાં વાતચીત નથી થઈ, પણ ચૌધરી અસલમે રહેમાનને પકડીને મારા ઘરના મેઇન ગેટ પર હાજર કર્યો હતો. ત્યારે એને જોયો હતો. જ્યારે ચૌધરી અસલમ જેલમાં હતા ત્યારે રહેમાને મને કોલ કર્યો હતો. તેણે પોતાની ઓળખ આપી. ત્યારે મને લાગ્યું કે મારો ડ્રાઇવર પ્રેન્ક કરી રહ્યો છે. આજે પાકિસ્તાનની સેના અને સિંધ પોલીસ અમારી સુરક્ષામાં લાગેલી છે. દિવ્ય ભાસ્કર: રહેમાન ડકૈતના એન્કાઉન્ટર વખતનો ઘટનાક્રમ શું હતો? ઘરે આવ્યા ત્યારે શું કહ્યું?નૌરિન ચૌધરી: એમણે એન્કાઉન્ટર પહેલા કેટલાક લોક ટ્રેસ કર્યા હતા. તેઓ આ પ્લાનને અંજામ આપવા માટે ચાર-પાંચ દિવસ પહેલાં જ ઘરેથી નીકળી ગયા હતા. તેઓ ઇરાનથી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જંગલ જેવા વિસ્તારમાં સાતેક પોલીસ જવાનો સાથે તેમણે રહેમાન ડકૈતને ઘેર્યો હતો. આ સમયે તેમની તબીયત ખરાબ થઈ ગઈ. તેમણે મને ફોન કરીને કહ્યું કે મારાથી નહીં થાય, હું ઘરે આવી જાઉં છું. પણ મેં કહ્યું, ધીરજ રાખો. મને તમારા પર ભરોસો છે. લગભગ છઠ્ઠા દિવસે તેમણે રહેમાનનું એન્કાઉન્ટર કરી નાખ્યું. પછી કાયદાકીય કામ પતાવીને તેઓ બીજા દિવસે ઘરે આવ્યા. ત્યારે ખૂબ ખુશ હતા. મને આવીને કહ્યું, અલ્લાહે મારી ઇજ્જત બચાવી લીધી. ચૌધરીને જે ટાસ્ક મળ્યો એ પુરો કર્યો. 1993-94થી ચૌધરી અસલમે ઓપરેશન કરવાનું શરૂ કર્યું હતું. દિવ્ય ભાસ્કર: રહેમાન ડકૈતના પરિવારથી તમને હજુ પણ ધમકી મળે છે?નૌરિન ચૌધરી: હા… થોડા સમય પહેલાં ધમકી આપી હતી. કરાચીમાં ઘણા બધા ગ્રુપ છે. એટલે ધમકીઓ તો મળે છે. દિવ્ય ભાસ્કર: તમારી એવી કઈ વાત જે માનતા ન હતા?નૌરિન ચૌધરી: એમની કામગીરી વિશે મેં ઘણા ટોક્યા છે. હું કહેતી હતી કે ઓછું કામ કરો. તેઓ દર ત્રીજા-ચોથા દિવસે ઓપરેશન પાર પાડતા હતા. પણ મારા મોઢા પર હા પાડીને ફરી પોતાના મનની વાત કરતા હતા. બધી વાતો માનતા હતા પણ એમના કામકાજ બાબતે હું હારી ગઈ. દિવ્ય ભાસ્કર: શું તમને પણ ચૌધરી અસલમે બંદૂક ચલાવવાની અને હેન્ડ ગ્રેનેડની ટ્રેનિંગ આપી હતી?નૌરિન ચૌધરી: એમણે મને 9MM પિસ્તોલ સહિત બે ત્રણ ગનની ટ્રેનિંગ આપી હતી. અત્યારે પણ મારી પાસે હથિયારો છે. બધા હથિયાર લાયસન્સવાળા છે. મને એમને ફાયરિંગ કરતા અને નિશાન લગાવતા શિખવાડ્યું હતું. દિવ્ય ભાસ્કર: તમે પણ શિખવા માટે રાજી થઈ ગયા હતા?નૌરિન ચૌધરી: ના… મેં તમને શરૂઆતમાં ના પાડી કે મારે બંદૂક નથી ચલાવવી. શું તમે મને ફૂલન દેવી બનાવવા માગો છો? તો તેમણે કહ્યું, ચૌધરીની પત્ની કોઈપણ સ્થિતિમાં ગભરાય નહીં, મારા મૃત્યુ પછી પણ એના મનમાં ડર ન રહેવો જોઈએ. બધાને ખબર હોવી જોઈએ કે નૌરિનખાન કોણ છે. દિવ્ય ભાસ્કર: એક વખત તમારા ઘરે પણ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. એ ઘટનાક્રમ શું હતો?નૌરિન ચૌધરી: એક વખત સવારે સાત વાગ્યાના સુમારે મારા ઘર પર પણ 350 કિલો વિસ્ફોટક સાથે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. હું ત્યારે ઘરે એકલી હતી. મેં આગલી રાત્રે ચૌધરી અસલમને ફોન કર્યો હતો, રાતના લગભગ બે વાગ્યા હશે. મેં કહ્યું તમે સમયસર ઘરે આવી જજો. તો તેમણે કહ્યું હતું કે મને ટીપ મળી છે કે ક્યાંક અમેરિકા અથવા સઉદીની એમ્બેસી પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. હું પેટ્રોલિંગમાં છું. પરંતુ ચૌધરી અસલમ એ વાતથી અજાણ હતા કે ખરેખરમાં બોમ્બ તો અમારા ઘરે જ ફૂટવાનો છે. સવારના સાત વાગીને 28 મિનિટે હું મારા બાળકોને ઉઠાડીને નાસ્તો બનાવતી હતી, ત્યારે મારા ઘર પાસે જ બ્લાસ્ટ થયો. જમીનમાં 30 ફૂટ ઊંડો ખાડો પડી ગયો. અંદરથી પાણીનો ફૂંવારો છૂટ્યો. થોડા સમય માટે ઇન્ટરનેટ પણ બંધ થઈ ગયું હતું. આ બ્લાસ્ટમાં અમારા 3થી 4 ગનમેન, એક પડોશી અને એક શિક્ષકનું મોત થયું હતું. મારા ઘરની આસપાસ ગાડીઓ હંમેશા ગોઠવાયેલી રહેતી હતી. જેમ ફિલ્મોમાં બ્લાસ્ટ પછી ગાડીઓ હવામાં ઉછળે છે એમ ઉછળીને દૂર ફેંકાઈ ગઈ હતી. દિવ્ય ભાસ્કર: આ બ્લાસ્ટ કોણે કરાવ્યો હતો એ ખબર પડી?નૌરિન ચૌધરી: હા… તહરિક-એ-તાલિબાને બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. દિવ્ય ભાસ્કર: ચૌધરી અસલમે ક્યારેય બુલેટ પ્રૂફ જેકેટ નહોતુ પહેર્યું?નૌરિન ચૌધરી: હું હંમેશા કહેતી કે બુલેટ પ્રૂફ જેકેટ પહેરો પણ તેઓ માનતા ન હતા. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે તો ઘણી ઝીદ્દ કરી હતી. પણ એ દિવસે ઘરેથી નીકળ્યા પછી થોડે દૂર જઈને જેકેટ કાઢી નાખ્યું હતું. કહેતા કે ચૌધરી આવી રીતે જેકેટ ન પહેરી શકે. મારે કોઈ એક્સ્ટ્રા ડિફેન્સની જરૂર નથી. એના કરતા તો મરી જવું સારું. તેઓ ક્યારેય ગાડીમાં નહોતા બેસી રહેતા. ફોર્સમાં તેઓ સૌથી આગળ રહેતા. દિવ્ય ભાસ્કર: અસલમ ચૌધરીનું મૃત્યું થયું એ વખતનો ઘટનાક્રમ કેવો હતો?નૌરિન ચૌધરી: મારા મારાના દીકરાનો ફોન આવ્યો કે ટીવી ચાલુ કરો, મોટા સમાચાર આવી રહ્યા છે. મેં ટીવી પર જોયું તો ચૌધરી અસલમનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. મને ખબર પડી કે એમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. એટલે હું તરત ત્યાં પહોંચી. એ દિવસે કરાચીમાં શટરડાઉન જેવી સ્થિતિ હતી. આખા શહેરમાં હંગામો મચી ગયો હતો. દિવ્ય ભાસ્કર: તમને લાગે છે કે અસલમ ચૌધરીનું મોત રાજકીય ષડયંત્રના કારણે થયું?નૌરિન ચૌધરી: ના… મને ચૌધરી સાહેબ કહેતા હતા કે હું ક્યારેય ગોળીથી નહીં મરું. મારા પર બોમ્બ બ્લાસ્ટ થશે, ત્યારે જ મરીશ. એમણે તાલિબાનો વિરુદ્ધ ઘણા ઓપરેશન પાર પાડ્યા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને ફોન કરીને કહ્યું હતું કે ચૌધરી અસલમ અમારા રસ્તેથી હટી જાય. તાલિબાનોને કરાચીમાં ચૌધરીથી જ ખતરો હતો. પણ મારા પતિએ વાત ન માની. મારા પતિએ 20 મિનિટ સુધી એ લોકોને ગાળો આપી. ચૌધરી અસલમ જીવનભર રહેમાન ડકૈટથી નથી ડર્યા. જો ડર્યા હોત તો આજે એમની પત્ની અમેરિકા કે ઇંગ્લેન્ડમાં રહેતી હોત. હું તો અત્યારે પાકિસ્તાનની ધરતી પર જ રહું છું ને. દિવ્ય ભાસ્કર: શું તમને લાગે છે કે દાઉદ સાથે પણ તેમની વાતચીત થઈ હતી?નૌરિન ચૌધરી: મેં જીવનભર ચૌધરી અસલમના મોઢે આ નામ સાંભળ્યું જ નથી. અમને દુશ્મનોએ ધમકી આપેલી છે એટલે અમુક વિસ્તારમાં નથી જઈ શકતા. મને અગાઉ પણ આવા સવાલો થયા છે. તેમણે માત્ર મારી સામે શોએબ ખાનનું નામ લીધું છે. જે કરાચીનો ડોન હતો. તેને લાહોર જઈને અસલમ ચૌધરીએ જ ઝડપી પાડ્યો હતો. એ જેલમાં ગયો અને હાર્ટએટેકના કારણે મરી ગયો. મારા પતિ ક્યારેય રૂપિયાની લાલચમાં કોઈની સામે ઝૂક્યા નથી. નવાઝ શરીફ, પરવેઝ મુશર્રફ પણ માતા પતિને અને તેમના કામને જાણતા હતા. તેઓ 300 ગરીબો પરિવારના ઘરમાં રાશન ખૂટવા નહોતા દેતા. દિવ્ય ભાસ્કર: શું આદિત્ય ધરે આ ફિલ્મ બનાવતા પહેલાં તમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો?નૌરિન ચૌધરી: ના… અમારી કોઈ પરમિશન લેવામાં નથી આવી. જ્યારે ટિઝન આવ્યું ત્યારે ખબર પડી કે આવી કોઈક ફિલ્મ આવી રહી છે. તેમણે હવા-હવા સોંગ માટે પાકિસ્તાની કલાકારને ફિલ્મ રિલિઝ થાય એ પહેલાં જ કોપીરાઇટના રૂપિયા આપી દીધા છે. એમણે ચૌધરી અસલમની એન્ટ્રી માટે નાનકડા ગીતના 46 લાખ રૂપિયા આપ્યા છે. હવે મેં નક્કી કર્યું છે કે આ મામલે હું આદિત્ય ધરને ઇન્ટરનેશનલ વકીલ મારફતે નોટિસ મોકલીશ. હું એમની પાસે પાકિસ્તાનની ચલણમાં 25 કરોડ રૂપિયા માગવાની છું. દિવ્ય ભાસ્કર: અત્યારે તમારા પરિવારમાં કોણ-કોણ છે?નૌરિન ચૌધરી: મારા ચાર બાળકો છે. તમામ બાળકો પાકિસ્તાનમાં જ છે. કોઈને વિદેશ નથી મોકલ્યા. મરીશું અથવા મારીશું એ જ ઉદ્દેશ છે. મારા મોટા દીકરાના થોડા સમય પહેલાં જ લગ્ન થયા છે હવે એ પણ પોલીસ ફોર્સમાં જોડાશે. હું 12 વર્ષથી તૈયાર બેઠી છું, જો કોઈ હુમલો કરશે તો એની છોડવામાં નહીં આવે. ચૌધરી અસલમે કોઈ જગ્યા બાકી નથી મૂકી. ઘણા ઓપરેશન પાર પાડ્યા છે. એટલે હવે સિક્યોરિટી જરૂરી છે. દિવ્ય ભાસ્કર: અસલમ પોતાના નામની આગળ ચૌધરી કેમ લગાવતા હતા?નૌરિન ચૌધરી: એમણે ઓપરેશન પાર પાડ્યા પછી એ ઓળખ મળી. જ્યારેથી તેમણે એન્કાઉન્ટર શરૂ કર્યા ત્યારે મારા કહેવા પર જ સફેદ કુર્તો પહેરવાની શરૂઆત કરી. લોકો સમજે છે કે એ પંજાબી છે પણ તેઓ તો પઠાણ હતા. દિવ્ય ભાસ્કર: બલોચ વિશે ડાયલોગ બોલ્યો હતો, તેના કારણે વિવાદ થયો હતો. હકીકત શું છે?નૌરિન ચૌધરી: મારા પતિ બલોચના વિરોધમાં ન હતા. આજે પણ લ્યારીમાં તેમને માન આપનારા ઘણા લોકો છે. માતા પતિની વરસી વખતે 200 બલોચ મહિલાઓ આવી હતી. તેઓ માત્ર ક્રિમિનલ વિરુદ્ધ હતા, સામાન્ય લોકોને ક્યારેય હેરાન નથી કર્યા, ભલે એ બલોચ હોય કે ન હોય. દિવ્ય ભાસ્કર: અસલમના મોત પછી તમારા જીવનમાં શું બદલાવ આવ્યો?નૌરિન ચૌધરી: જ્યારે મારા પતિનું આટલું નામ થઈ ચૂક્યું હતું, તેમના ગયા પછી અમારા માટે ખૂબ મુશ્કેલ ભર્યા દિવસો રહ્યા. અત્યારે ઘણી શાંતિ છે. દિવ્ય ભાસ્કર: અગાઉ પાકિસ્તાનના પણ ઘણા લોકો નહોતા ઓળખતા પરંતુ ફિલ્મ આવ્યા પછી ચૌધરી અસલમને વધુ ખ્યાતિ મળી એવું તમે માનો છો?નૌરિન ચૌધરી: ફિલ્મ આવ્યા પછી પણ ઘણી ખરી એમને નામના મળી છે. પણ ફિલ્મમાં એમને થોડા નેગેટિવ બતાવ્યા છે એ ખોટું છે. તેઓ આંતરરાષ્ટ્રીય કેરેકટર રહ્યા છે. પણ આ ફિલ્મ એન્ટિ પાકિસ્તાની છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 6:00 am

એવોર્ડ કરાયો એનાયત:લાયન્સ ક્લબ દ્વારા બંસીધર શર્માને જ્ઞાન-સાહિત્ય ક્ષેત્રે લાયન્સ રત્ન એવોર્ડ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના હીરો એવોર્ડ અંતર્ગત જ્ઞાન અને સાહિત્ય શ્રેણીમાં બંસીધર શર્માને લાયન્સ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું કે બંસીધર શર્માની સાહિત્યિક આપણીથી સમાજમાં એવી વિચારોની સમૃદ્ધિ આવી છે જે શબ્દોને પ્રેરણા આપે, વિચારધારાને અસર કરે અને દીર્ઘકાલ સુધી ટકી રહે. હાર્દિક શાહે કહ્યું, આ સન્માન સાહિત્યને માત્ર લખાણ નહીં, વાચકોની ચેતનામાં ઊંડે અનુભવાતી શક્તિ તરીકે માન્યતા આપે છે. જિલ્લા ગવર્નર દીપક સુરાનાએ ઉમેર્યું, તેમનું જ્ઞાન સમયને પાર કરતી સમજ આપે છે, તેથી આ પસંદગી સ્વાભાવિક છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:53 am

હનુમંત ચરિત્ર કથામાં સેવાની સરવાણી:વિધવાઓને સિલાઈ મશીન-દિવ્યાંગોને ટ્રાઈસિકલની ભેટ અપાઈ

ગોત્રી વિસ્તારમાં ભયભંજનદેવ હનુમાનજી મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે હનુમાન જયંતીથી 5 દિવસીય હનુમંત ચરિત્ર કથા યોજાઈ હતી. સાળંગપુરધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ વડોદરાના ભક્તોને 5 દિવસ સુધી કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ આયોજન દરમિયાન સામાજિક હિતના વિવિધ સેવાકાર્યો પણ કરવામાં આવ્યા હતા. ગોત્રી સ્થિત ભયભંજનદેવ હનુમાનજી મંદિરના કર્તાહર્તા શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના ગુરુ શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે ગુરુવંદના મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવના ભાગરૂપે હનુમાન જયંતીના દિવસે નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કરાયું હતું. મંદિરમાં સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજી જેવી જ આબેહૂબ મૂર્તિ પધરાવવામાં આવી છે. કથાના પાંચમા અને અંતિમ દિવસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીએ નિરાધાર બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી હતી. તેઓ આ બાળકોના પાલક પિતા બની તેમના શિક્ષણ સહિતની તમામ જવાબદારી ઉઠાવશે. સ્વામીજીની આ જાહેરાતને વક્તા હરિપ્રકાશદાસજી સ્વામી અને હજારો શ્રોતાઓએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી. કથાના માધ્યમથી જરૂરિયાતમંદોની વ્હારે આવી સંસ્થા

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:50 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:3 દિવસમાં 768 ઉમેદવારીપત્ર લેવાયા, વૉર્ડ-16થી 19માં વધુ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 6 એપ્રિલથી ફોર્મ વિતરણ શરૂ થયું છે. ત્યારે 3 દિવસમાં 768 ફોર્મનું વિતરણ થયું છે. જેમાં સૌથી વધુ 166 ફોર્મ 16થી 19 વોર્ડમાં વિતરણ થયા, બીજા નંબરે 13થી 15 વોર્ડમાં 146 ફોર્મ દાવેદારો લઈ ગયા છે. સૌથી ઓછા 76 ફોર્મ 7થી 9 નંબરના વોર્ડમાં વિતરણ થયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા ત્રણ દિવસમાં 2207 ફોર્મનું વિતરણ થયું છે. જેમાં જિલ્લા પંચાયતની બેઠકો માટે 195 ફોર્મ, તાલુકા પંચાયત માટે 665 ફોર્મ અને નગર પાલિકાની ચૂંટણી માટે સૌથી વધુ 1347 ફોર્મનું વિતરણ થયું છે. ત્રણ દિવસમાં કુલ 768 ફોર્મનું વિતરણ થયું.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:46 am

પાલિકાની કામગીરી સામે લોકરોષ:હરણી વિજયનગરમાં રોડનું કાર્પેટિંગ કરતા કોન્ટ્રાકટરોને લોકોએ ભગાડયા

હરણી રોડ પર ધવલ ચાર રસ્તાથી વિજય નગરના માર્ગે મકાનોના વોલ ટુ વોલ બનાવી દીધેલા રોડ પર કાર્પેટીંગ કરવા આવેલા પાલિકાના કોન્ટ્રાકટરોને રહીશોએ ભગાડયા હતા. રહીશોએ કહ્યું કે, 4 ફૂટ રોડ ખોદો પછી કાર્પેટીંગ કરો. વોલ ટુ વોલ રોડના પગલે વરસાદમાં લોકોના ઘરમાં પાણી આવે છે. શહેરમાં રોડને મકાનો-દુકાનોથી ઉંચા કરી દેવાયા છે, જેને કારણે ચોમાસામાં 2 કે 3 ઇંચ વરસાદમાં જ ઘરોમાં પાણી પ્રવેશે છે. આવી જ સ્થિતી હરણીરોડના વિજયનગરની છે. બુધવારે પાલિકાના કોન્ટ્રાકટરો રોડ પર કાર્પેટીંગ કરવા પહોંચ્યા પરંતુ રહીશોએ તેમને અટકાવી કહ્યું હતું કે, કાર્પેટીંગ કરવું હોય તો પહેલા 4 ફૂટ રોડ ખોદો પછી જ નવો બનાવો. જોકે કોન્ટ્રાકટે કહ્યું હતું કે, આવું ન કરી શકાય કારણ કે કોન્ટ્રાકટની શરતમાં આ નથી. જેથી રહીશોએ રોડ પર કાર્પેટીંગ કરવા દિધું ન હતું. પાલિકાની ટીમ પરત ફરી હતી. વાલ્વ નાખવાનો છે છતાં કાર્પેટીંગ કરવા આવ્યાહજુ પણ આ રોડ પર વાલ્વ બેસાડવાની કામગીરી બાકી હોવા છતાં કાર્પેટીંગ કરવા માટે પાલિકાના કર્મચારીઓ આવ્યા હતા. અમે અધિકારીને સ્પષ્ટ કહ્યું હતું કે, કાર્પેટીંગ કરવાની જગ્યાએ પહેલા કામ કરો અને 4 ફૂટ ખોદયા બાદ જ નવો રોડ અમે બનાવવા દઇશું નહિ તો અમે જે સ્થિતીમાં છે તેમાં અમને કોઇ વાંધો નથી. > સુરેશ પરમાર, રહીશ

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:45 am

સિટી એન્કર:યુવકે સોશિયલ મીડિયામાં બાજવાના પરિવારની 5 મહિલાઓના ફોટો ઉપર 1 હજારથી 5 હજાર કિંમત લખી, પોલીસે પાઠ ભણાવ્યો

બાજવામાં પરિણિતાના સોશિયલ મીડિયા આઈડી પર યુવકે પરિણિતાના જ પરિવારની 5 મહિલાઓની રૂ.1 હજારથી રૂ.5 હજારની કિંમત લખીને કોમેન્ટ કરી હતી. જેને પગલે યુવક અને પરિણિતાના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. 23 વર્ષીય પરિણિતા લક્ષ્મીપુરામાં નોકરી કરે છે. 20 દિવસ પૂર્વે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘મહેશ સેમ ઈવેન્ટ બરોડા’ આઈડી પરથી રિકવેસ્ટ આવી હતી. પરિણિતાએ તેને નકારી હતી. 6 એપ્રીલે પરિણિતાએ સ્ટોરી મુકી હતી. જેમાં ફોટોમાં યુવતી સહિત તેના દેરાણી-જેઠાણી પણ હતાં. જેમાં રૂ.1 હજારથી લઈને રૂ.5 હજાર એમ અલગ અલગ રકમ લખી મહેશ સેમ ઈવેન્ટ બરોડા આઈડી પરથી મેસેજ મોકલાયો હતો. પરિણિતાએ આ શું છે? પૂછતા, કોઈ જવાબ મળ્યો નહોતો. યુવક દ્વારા સ્ટોરી પર ખૂબ અપમાનજક કોમેન્ટ કરવામાં આવી હતી. ત્યારે પરિણિતાએ તે આઈડીનો ફોટો સંબંધીઓને બતાવતા તે મહેશ ભરત પરમાર (બાજવા) હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિણિતાએ તેની સામે ફરિયાદ નોંધાવતા જવાહરનગર પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ પરિણિતા અને યુવકના પરિવાર વચ્ચે ઘટના બાબતે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી. ત્યારે તેને પોલીસે આરોપીઓના અટકાયતી પગલા ભરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરીમામલાની ગંભીરતા જોઈને પોલીસે ગુનો નોંધ્યો હતો, જ્યારે મારામારીની ઘટનામાં આરોપીઓના અટકાયતી પગલા ફરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે. > જી.ડી.રાજપુત, ઈન્ચા.પીઆઈ, જવાહરનગર મારા કામની વાત

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:44 am

ઉમેદવારોએ રોજે રોજ ખર્ચની વિગત આપવી પડશે:ઉમેદવારો યુપીઆઈ મારફતે પેમેન્ટ કરે તે પણ ચૂંટણી ખર્ચમાં જ ગણાશે

26 એપ્રિલે યોજાનારી પાલિકાની ચૂંટણીના પ્રચારમાં ઉમેદવારને 9 લાખ ખર્ચની મર્યાદા અપાઇ છે. ઉમેદવારો યુપીઆઈથી પેમેન્ટ કરશે તો તે પણ ચુંટણી ખર્ચમાં ગણાશે તેવો નિર્ણય લેવાયો છે. ઉમેદવારોને આર.ઓ દ્વારા ખર્ચ નોંધવા રજીસ્ટર અપાશે. ઉમેદવારોએ રોજે રોજ ખર્ચની વિગત આપવી પડશે. હવે મોટાભાગનું પેમેન્ટ ડીજીટલ માધ્યમથી થાય છે. ત્યારે ઉમેદવાર જો ડીજીટલ પેમેન્ટ કરશે તો તેનો હિસાબ આપવો પડશે. યુપીઆઈ પેમેન્ટને ચુંટણી ખર્ચમાં ગણાશે. જેના પગલે ઉમેદવારે ચૂંટણી દરમિયાન પેમેન્ટ કરતાં સાવચેત રહેવું પડશે અને યુપીઆઇથી કરેલા પેમેન્ટનો હિસાબ જિલ્લા તીજોરી કચેરી ખાતે આપવાનો રહેશે. ઉમેદવારો ફોર્મ ભરશે ત્યારે રીટર્નીંગ ઓફિસર ઉમેદવારને ખર્ચ નોંધવા માટે રજીસ્ટર આપશે. ઉમેદવારોએ રોજના ખર્ચની વિગત આપવી પડશેઉમેદવારોને આર.ઓ દ્વારા ખર્ચ નોંધવા રજીસ્ટર અપાશે. જેમાં ઉમેદવાર રોજ ખર્ચ લખશે. રોજે રોજના ખર્ચની ડિટેલ યુપીઆઇ પેમેન્ટની વિગતો સાથે આપવી પડશે. > વી.ડી.બાલત, તિજોરી શાખા તંત્ર બેંક સ્ટેટમેન્ટની ચકાસણી કરી કાર્યવાહી કરશેચૂંટણી તંત્ર ઉમેદવારોના મોબાઈલ ચકાસી શકે છે. જો કોઈ છુપાવવાનો પ્રયાસ કરશે, તો ચૂંટણી બાદ પણ કાર્યવાહી થઈ શકે છે. તિજોરી શાખાએ સ્પષ્ટ કર્યું છે કે, ડિજિટલ વ્યવહારોમાં પારદર્શિતા રાખવી અનિવાર્ય રહેશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:35 am

સફાઈ પર માઠી અસર:ડીઝલ ખૂટી પડતાં પાલિકાના 436 વાહનોના પૈડાં થંભ્યા, કચરો, ગટર-પાણીની સેવાઓ અસરગ્રસ્ત

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર વડોદરા પાલિકા પર જોવા મળી છે. પાલિકાના વાહનોને ડિઝલ પૂરું પાડતા વ્હિકલ પુલના પેટ્રોલ પંપ પર ડિઝલ ખલાસ થઈ જતાં તંત્રમાં દોડધામ મચી છે. મંગળવારે બપોરથી ડિઝલ ખૂટતાં પાલિકાના જેસીબી, ડમ્પરો અને અન્ય ટેકનિકલ વાહનો મળી 436 વાહનોના પૈડાં થંભી જતાં શહેરના ડ્રેનેજ, પાણી પુરવઠા અને સફાઈની કામગીરી પર માઠી અસર પડી છે. યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ માર્કેટ અને સપ્લાયના કારણે ડિઝલ જરૂરિયાત કરતા ઓછું મળી રહ્યું છે. પાલિકાના વાહનોનો રોજનો વપરાશ 4500 લિટર છે. તેવામાં મંગળવારે બપોરે સ્ટોક પૂર્ણ થઈ જતાં પંપ બંધ કરવાની નોબત આવી હતી. પરિણામે ફિલ્ડમાંથી વાહનો પરત ફર્યા હતા. વાહનો અટકી જતાં કચરાની સફાઇ અને ડ્રેનેજ લાઇનની સફાઇ અટકી હતી. જોકે બુધવારે ટેન્કર આવતાં રાહત થઈ હતી. ડીઝલ ન હોવાના કારણે શું અસર થઈ ? સંગ્રહ શક્તિ હોવા છતાં અછત કેમ?વ્હિકલ પુલ ખાતે ડિઝલ સંગ્રહ કરવા માટે 20 KL (કિલો લિટર)ની ક્ષમતા ધરાવતી બે ટેન્ક આવેલી છે. પાલિકાની રોજની 4500 લિટર ડિઝલની ખપત છે. આટલી મોટી સ્ટોરેજ ક્ષમતા હોવા છતાં કંપની દ્વારા પૂરતો જથ્થો ન ફાળવવામાં આવતા વહીવટી તંત્રની આયોજનબદ્ધ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:32 am

વાવેતર:બરડામાં મગ, તલ, ચોરી, અડદ સહિતનો ઉનાળુ પાક લહેરાયો

બગવદર પંથકમાં આ વખતે વર્તું 2 ડેમમાં સમારકામ કરવાને કારણે સિંચાઈનું પાણી નહીં મળે પરંતુ તળાવ, કુવા, વોકળામાં પાણી હોવાથી ખેડૂતોએ ઉનાળુ પાક એવા મગ, તલ, ચોરી અને અડદના પાકનું વાવેતર કરી સાહસ કર્યું હતું જે સાહસ રંગ લાવતા હાલ બરડા વિસ્તારના ખેતરોમાં લીલોછમ પાક લહેરાઈ રહ્યો છે. પોરબંદરના બગવદર પંથકમાં ખેડૂતોએ ઉનાળુ પાક એવા મગ, તલ, ચોરી અને અડદના પાકનું વાવેતર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત ચોમાસે પાછોતરો વરસાદ પડ્યો હતો જેને કારણે તળાવ, વોકળા, કુવા પાણીથી તરબોળ બન્યા હતા. બરડા પંથકમાં સિંચાઈના પાણી માટે વર્તું 2 ડેમ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે પરંતુ આ વખતે વર્તું 2 ડેમમાં સમારકામ કરવામાં આવતું હોવાને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ નહીં મળી શકે પરંતુ હાલ પાદરમાં તળાવો, વોકળા અને કૂવામાં સરવાણી થતી હોય જેથી ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરનું સાહસ કર્યું હતું અને સાહસને પરિણામે હાલ બરડા વિસ્તારના ખેતરોમાં ઉનાળુ પાક લીલોછમ બની લહેરાઈ રહ્યો છે. આ વિસ્તારમાં મગના પાકનું વધુ વાવેતર કરવામાં આવ્યું છે અને પાકની સ્થિતિ સારી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ચોમાસા પહેલા ઉનાળુ પાકની લણણી કરવામાં આવશે. હાલ ખેતરો લીલાછમ નજરે ચડે છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

વાતાવરણ:પોરબંદરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી વધીને 32.3 ડિગ્રી પહોંચ્યું

પોરબંદરમાં આ સિઝનનું સૌથી ઊંચું લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું છે જ્યારે મહતમ તાપમાન 1 ડિગ્રી વધીને 32.3 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 9 ટકા વધીને 71 ટકાએ પહોંચ્યું છે ત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પોરબંદરમાં સવારે ગરમી અને સાંજ બાદ ઠંડક પ્રસરે છે. બપોરે વધુ ગરમીનો અનુભવ થાય છે જ્યારે રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. પોરબંદરમાં ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 31.3 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા રહ્યું હતું જેની સામે બુધવારે મહતમ તાપમાન 1 ડિગ્રી વધીને 32.3 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જે આ સિઝનનું સૌથી ઊંચું લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 9 ટકા વધીને છેક 71 ટકા પહોંચ્યું છે. ભેજનું પ્રમાણ વધી જતા રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. 10 દિવસમાં સૌથી ઊંચું 71 ટકા ભેજનું પ્રમાણ ઉનાળા દરમ્યાન પોરબંદરમાં ભેજના પ્રમાણમાં મોટી વધઘટ નોંધાઈ રહી છે. છેલ્લા 10 દિવસ પહેલા તા.29ને રવિવારે ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યું હતું, ત્યાર બાદ ભેજનું પ્રમાણ છેલ્લા 10 દિવસ દરમ્યાન 31 ટકાથી લઈને 64 ટકા સુધી રહ્યું હતું, જ્યારે તા.8 એપ્રિલના રોજ ભેજનું પ્રમાણ 71 ટકા નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

પક્ષી અભયારણ્ય:પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે 3 માસમાં‎1173 પ્રવાસીઓએ પક્ષીઓની જાણકારી મેળવી‎

પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે શિયાળા દરમ્યાન વિદેશી પક્ષીઓનું આગમન થયું હતું. પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે ગત જાન્યુઆરીથી માર્ચ માસમાં 1173 પ્રવાસીઓએ પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ, પક્ષી વિશે જાણકારી મેળવી રોમાંચ અનુભવ્યો હતો. પોરબંદર શહેર મધ્યે 9.33 હેક્ટરમાં પક્ષી અભયારણ્ય ફેલાયેલ છે. અહીં વેટલેન્ડ આવેલ છે અને વેટલેન્ડ ખાતે કૃત્રિમ માઉન્ટ બનાવવામાં આવ્યા છે. શિયાળા દરમ્યાન વિદેશી પક્ષીઓ પોરબંદરમાં મહેમાન બન્યા હતા, વિદેશી પક્ષીઓની અનેક પ્રજાતિ પક્ષી અભયારણ્ય ખાતે જોવા મળે છે અને સ્થાનિક પક્ષીઓ પણ પક્ષી અભયારણ્ય ખાતે આવે છે. પક્ષી અભયારણ્ય ખાતે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે, સાથોસાથ શહેરની વિવિધ શાળાના છાત્રો તેમજ આસપાસના ગામોના લોકો પણ મુલાકાતે આવી અભયારણ્યનો નજારો જુવે છે. પક્ષી અભયારણ્ય ખાતે પ્રવાસીઓની નોંધ લેવામાં આવી રહી છે ત્યારે ગત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમ્યાન 1173 પ્રવાસીઓએ પક્ષી અભયારણ્ય ખાતે મુલાકાત લઈને વેટલેન્ડ, વૃક્ષો, પશુ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી. પક્ષી અભયારણ્ય ખાતેના સ્ટાફ દ્વારા પ્રવાસીઓને પક્ષીઓ વિશેની જાણકારી આપી હતી. પ્રવાસીઓએ પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ વિવિધ પક્ષીઓ વિશેની જાણકારી મેળવી રોમાંચ અનુભવ્યો હતો. ડિસેમ્બરમાં 348 પ્રવાસી આવ્યા ઉલ્લેખનીય છે કે, પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે પ્રવાસીઓની આવકમાં વધારો થઈ રહ્યો છે. ગત ડિસેમ્બર માસ દરમ્યાન 348 પ્રવાસીઓએ પક્ષી અભયારણ્ય ખાતે મુલાકાત લીધી હતી અને બુકમાં નોંધ કરાવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત:પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આ કમોસમી વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા. જોકે તાજેતરમાં જિલ્લામાં સતત 2 દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી હતી ત્યારે આ આગાહીને પગલે રાજ્યના અમુક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે પોરબંદર જિલ્લામાં પણ બુધવારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી વચ્ચે જિલ્લામાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પોરબંદર જિલ્લામાં તાજેતરમાં કમોસમી વરસાદ પડ્યો હતો.આ કમોસમી વરસાદથી શિયાળું વાવેતર તૈયાર થયેલ પાકને તો નુકશાન થયું જ હતું પરંતુ ખેડૂતો દ્વારા વાવેતર કરેલ તલ સહિતના પાકમાં પણ કમોસમી વરસાદને લઈને ફાલને નુકશાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસીસ:વોર્ડ નં 3,8 અને 13માં નવા ચાર ગામ ભળી જતા જુના જોગીઓને જીતવું મુશ્કેલ બનશે

પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થતા જ રાજકારણ પણ બદલાયું છે.પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારના નવા સીમાંકનમાં વૉર્ડ નંબર 3,8 અને 13 સહિત ત્રણ વૉર્ડમાં જાવર,વનાણા, દિગ્વિજયગઢ અને રતનપર ગામનો સમાવેશ થતા તે ગામના ઉમેદવારો સાથે સીધી હરીફાઈ થશે.જેથી નગરપાલિકા વર્ષોથી જીતતા ઉમેદવારોને જીતવું પણ મુશ્કેલ બનશે.નવા ભળેલ ગામમાંથી પણ મનપાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધવી છે. રાજ્ય સરકાર દ્વારા પોરબંદર ,મોરબી, વાપી સહિત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા રૂપાંતર કરવામાં આવતા આસપાસના વિસ્તારો અને ગામોનો પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકામાં પણ પોરબંદર શહેર નજીક આવેલ જાવર, દિગ્વિજયગઢ, વનાણા અને રતનપર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનપામાં નવા ચાર ગામોનો સમાવેશ થતા જ નગરપાલિકામાં રહેલ વૉર્ડના સીમાંકનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને ચૂંટણી પૂર્વે જ નવું સીમાંકન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગર પાલિકા થયા બાદ પણ વૉર્ડમાં વધારો થયો નથી પરંતુ અમુક વૉર્ડનું સીમાંકન વધ્યું છે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વૉર્ડ નંબર 8 માં જાવર ગામ,વૉર્ડ નંબર 3 માં વનાણા અને દિગ્વિજયગઢ અને વૉર્ડ નંબર 13 માં રતનપર ગામનો સમાવેશ થતા આ વૉર્ડના સીમાંકન વધ્યા છે.જેથી હાલ જાહેર થયેલ મનપાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 3,9 અને 13નું રાજકારણ બદલાયું છે. આ ત્રણ વૉર્ડમાં જુના સીમાંકન સાથે સાથે નવા ભળેલ ગામોમાંથી પણ ઉમેદવારી નોંધાવી છે જેને લઈને હવે જુના જોગીઓને ચૂંટણી જીતવી પણ મુશ્કેલ બનશે તેમજ આ ત્રણ વૉર્ડમાં નવા ભળેલ ગામોમાંથી પણ ઉમેદવારી નોંધવતા જુના જોગીઓ સાથે સીધી હરીફાઈ પણ થશે. ક્યાં વૉર્ડમાં કેટલા મતદારોનો સમાવેશ થયો પોરબંદર મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 3 માં વનાણા અને દિગ્વિજયગઢનો સમાવેશ થતા આ બંને ગામના 1901 મતદારોનો સમાવેશ થયો છે તો વૉર્ડ નંબર 8 માં જાવર ગામનો સમાવેશ થતા 1624 મતદારોનો સમાવેશ થયો છે તેમજ વૉર્ડ નંબર 13 માં રતનપર ગામનો સમાવેશ થતા 1243 મતદારોનો સમાવેશ થયો છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

પરિવહન‎:પોરબંદરથી દાહોદ, ઉજ્જૈન, પ્રયાગરાજ અને આસનસોલ જવા આગામી 13 એપ્રિલથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ઉપડશે

રેલ્વે વિભાગ દ્વારા પોરબંદર થી દાહોદ,ઉજ્જૈન અને પ્રયાગરાજ સહિત પશ્ચિમ બંગાળના આસનસોલ જવા 13 એપ્રિલથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ થશે.આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ 10 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે.મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026 થી જૂન 2026 દરમ્યાન બંને દિશામાં કુલ 12-12 ફેરા સાથે ચલાવવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનોની વિગત નીચે મુજબ ટ્રેન નંબર 09205 પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 29 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન પોરબંદરથી દરેક સોમવારે સવારે 8:50 વાગ્યે પ્રસ્થાન કરી બુધવારે સવારે 6:45 વાગ્યે આસનસોલ પહોંચશે.તે જ રીતે પરત ફરતી ટ્રેન નંબર 09206 આસનસોલ પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ 15 એપ્રિલ, 2026 થી 01 જુલાઈ, 2026 સુધી ચાલશે. આ ટ્રેન આસનસોલથી દરેક બુધવારે રાત્રે 23:05 વાગ્યે પ્રસ્થાન કરી શુક્રવારે રાત્રે 21:50 વાગ્યે પોરબંદર પહોંચશે.ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.ટ્રેન નંબર 09205 માટે ટિકિટોની બુકિંગ 10 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. ક્યાં રૂટ પર ટ્રેઇન જશેઆ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, અમદાવાદ, આનંદ, છાયાપુરી, ગોધરા જં., રતલામ, નાગદા જં., ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જં., ગોવિંદપુરી, પ્રયાગરાજ જં., મિર્જાપુર, પંડિત દિનદયાળ ઉપાધ્યાય જં., ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, ગયા, કોડરમા, હજારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષચંદ્ર બોસ જં. ગોમો, ધનબાદ જં. સ્ટેશનો પર ઠેરવાશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

ખેડૂતોમાં આનંદની લાગણી:બોડીદર–જાંજરીયા વચ્ચેનો પુલ થયો તૈયાર પણ પેવર રોડ બિસ્માર, યોગ્ય કરવા લોકોની માંગણી

ડોળાસા નજીક ગીરગઢડાના બોડીદર અને જાંજરીયા ગામોને જોડતો પુલ હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. વર્ષોથી ચાલતી માંગ પૂર્ણ થતાં બંને ગામોના લોકો તેમજ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. માત્ર બે કિમીનું અંતર હોવા છતાં પુલના અભાવે લોકોને ચંદ્રભાગા નદીમાં ઉતરીને જવું પડતું હતું અથવા સાત કિમીનો લાંબો ચક્કર મારવો પડતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી હતી. જેના અનુસંધાને રાજ્ય સરકારે રૂ. 1.40 કરોડની ફાળવણી કરી પુલ મંજૂર કર્યો હતો. ગત વર્ષે કામની એજન્સી નિમાયા બાદ ઝડપી ગતિએ કામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં પુલનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે ખાસ કરીને ખેડૂતોને ચોમાસામાં મોટી રાહત મળશે. હાલ બોડીદરથી જાંજરીયા સુધીનો પેવર રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. તેથી સ્થાનિક લોકો દ્વારા આ રોડના તાત્કાલિક સમારકામની માંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

સારવાર:સિવિલ હોસ્પિટલ: ત્રણ મહિનામાં 1.13 લાખથી વધુ દર્દીઓએ સારવાર લીધી

જૂનાગઢની જીએમઈઆરએસ (GMERS) જનરલ હોસ્પિટલ આસપાસના જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લાખો દર્દીઓએ સારવાર મેળવી છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કુલ 1,13,349 દર્દીઓએ ઓપીડી (OPD) સેવાનો લાભ લીધો છે. જેમાં જાન્યુઆરીમાં 39,151 ફેબ્રુઆરીમાં 37,381 અને માર્ચમાં 36,817 દર્દીઓ નોંધાયા હતા. દરમિયાન માત્ર સામાન્ય તપાસ જ નહીં, પરંતુ ગંભીર બીમારીઓ માટે 18,448 દર્દીઓને આઈપીડી (IPD) વિભાગમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. તેમજ હોસ્પિટલની સર્જિકલ ક્ષમતા પણ નોંધપાત્ર રહી છે. નિષ્ણાંત તબીબો દ્વારા આ ત્રણ મહિનામાં 1,752 મેજર અને 4,389 માઇનોર ઓપરેશન પુરા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગ દ્વારા પણ 1,307 સુરક્ષિત પ્રસૂતિઓ કરાવવામાં આવી હતી. વધુમાં સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, આધુનિક મશીનરી અને સ્ટાફના સમન્વયથી સિવિલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મજબૂત આરોગ્ય કવચ પૂરું પાડી રહી છે. આગામી સમયમાં હોસ્પિટલ તંત્ર દ્વારા સુવિધાઓમાં હજુ પણ વધારો કરવાનું આયોજન છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:જિ.પં.માં 2 અને તા.પંચાયતમાં 8 ફોર્મ ઉમેદવારી માટે રજૂ થયાં

જૂનાગઢ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં જીલ્લા પંચાયતની 30 બેઠક, તાલુકા પંચાયતની 158 બેઠક તેમજ કેશોદ નગરપાલિકાના 9 વોર્ડ તેમજ બાંટવા નગરપાલિકાના એક વોર્ડ પર પેટા ચૂંટણી થવાની છે. જેને લઇને ઉમેદવારી પત્ર ભરાવવાના શરૂ થઈ ગયા છે. આગામી તા.11 એપ્રિલના ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે આજ તા.8 એપ્રિલ સુધી જીલ્લા પંચાયત માટે 59 ફોર્મ, તાલુકા પંચાયત માટે 300 ફોર્મ તેમજ નગરપાલિકા માટે 43 ફોર્મનું અધિકારી કક્ષાએથી વિતરણ કરવામાં આવ્યું છે. જેમાંથી અત્યાર સુધી જીલ્લા પંચાયત માટે 2 ફોર્મ અને તાલુકા પંચાયત માટે 8 ફોર્મ રજૂ થઈ ગયા છે. આ ચૂંટણીને લઇ આચાર સંહિતા તંત્ર દ્વારા કડક કરાઇ છે. 100 મીટરની ત્રિજ્યામાં સંચાર સાધનો લઇ જવા પર પ્રતિબંધ ચૂંટણી હેઠળના મતદાન મથકો તથા તેની આજુબાજુનાં 100 મીટરના વિસ્તારમાં અને મતગણતરીનાં દિવસે પ્રવેશના નિયમન માટે મતદાન તેમજ મતગણતરી સાથે સંકળાયેલ અધિકારીઓ સિવાયનાં કોઈપણ વ્યકિત સેલ્યુલર/મોબાઈલ ફોન,કોડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઈ જઈ શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:કડિયાવાડમાં 23 ઇમારતને નોટિસ, 5 દિ''માં નહીં ઉતારો તો બુલડોઝર ફરશે

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. 10માં જર્જરિત ઇમારતમાંથી પોપડા પડતા એક મહિલાને ગંભીર ઈજા થઈ હતી. અગાઉ અહીં એક જર્જરીત બિલ્ડીંગ પડી જતા ચાર લોકોના મોત થયા હતા. આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ દ્વારા તાબડતોબ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં કડિયાવાડમાં 23 એવી ઇમારતો છે કે જે જર્જરીત હોય તે તમામને પાંચ દિવસની નોટિસ આપવામાં આવી છે. કડીયાવાડના ગોવર્ધન કૃપા એપાર્ટમેન્ટમાં જે નોટિસ લાગી છે તેમાં જણાવ્યા મુજબ તમામ માલિકો અને ભાડુઆતોને આથી જાણ કરવામાં આવે છે કે, બી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ-264 મુજબ તમારા મકાનનું બાંધકામ ભયજનક સ્થિતિમાં છે. ખાસ કરીને બાલ્કનીનો સ્લેબ અને સીડીનો ભાગ ગમે ત્યારે પડી શકે તેમ હોવાથી, કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે આગામી 5 દિવસમાં આ જર્જરિત હિસ્સો દૂર કરવો અનિવાર્ય છે. જો પાંચ દિવસમાં કોઈ પણ જાતની કાર્યવાહી ન થઈ તો કોર્પોરેશન પોતાનું બુલડોઝર લઈ આ જર્જરી ભાગને તોડી પાડશે તેની તમામ જવાબદારી જે તે વિસ્તારના રહીશોની રહેશે. તાજેતરમાં પ્લાસ્ટરના પોપડા પડવાથી મહિલાને ઇજા થવાની ઘટના બાદ સ્થાનિક રહીશો અને વેપારીઓમાં રોષ ફેલાયો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારે બંધ પણ પાળ્યો હતો. આ રહ્યા... નવા બાંધકામના નિયમોજર્જરિત ભાગ ઉતાર્યા બાદ ત્યાં કોઈ નવું બાંધકામ કે ફેરફાર કરવો હોય, તો તે મનસ્વી રીતે કરી શકાશે નહીં. કોઈ પણ નવા બાંધકામ માટે મહાનગર પાલિકાની કચેરી પાસેથી વિકાસ પરવાનગી મેળવવી ફરજિયાત છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

મતદારોની સંખ્યામાં ફેરફાર:સિક્કા પાલિકામાં 1073 મતદારોનો નોંધાયો ઘટાડો

સિક્કા નગરપાલિકાની હાલ યોજાનાર ચૂંટણીમાં સરની કામગીરી બાદ 1073 મતદારો ઓછા થઈ જતા અનેક વોર્ડની ચૂંટણીમાં તેની અસર જોવા મળશે. જો કે, પરિણામ અને મતદાનની ટકાવારી ઉંચી આવશે તેવું જાણકારોનું માનવું છે. સિક્કા નગરપાલિકામાં 2021માં 20482 મતદારો નોંધાયેલ હતા.જ્યારે 2026માં 19409 મતદારો નોંધાયેલ છે.જેથી સિક્કા નગરપાલિકામાં 1073 મતદારો. ધટાડો થયો છે. રાજનીતિજનો કહે છેકે ભલે મતદારોની કુલ સંખ્યા ઘટી હોય કુલ સંખ્યા ઘટી હોય, મતદારોની સંખ્યામાં ફેરફાર થવાથી ઘણા વોર્ડમાં સ્ત્રી-પુરુષ અનામત અને જ્ઞાતિગત સમીકરણો ફરીથી સેટ કરવા પડશે. અમરેલી અને ગોંડલ જેવા શહેરોમાં જ્યાં મતદારો ઘટ્યા છે, ત્યાં ઉમેદવારોએ હવે એક-એક મતના મૂલ્યને સમજીને પર્સનલ સંપર્ક વધારવો પડશે.વર્ષ 2026ની આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાની જંગ નથી, પણ ‘શુદ્ધ થયેલી મતદારયાદી પર લડનારી પ્રથમ ચૂંટણી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

સુવિધા:પોરબંદર-આસનસોલ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન,કાલથી બુકિંગ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને પસાર થતી 09205/09206 પોરબંદર–આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન (24 ફેરા) રહેશે.આ ટ્રેન નંબર 09205 પોરબંદર–આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ પોરબંદરથી દર સોમવારે સવારે 8.50 કલાકે ઉપડીને, તે જ દિવસે 13.15 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે સવારે 6.45 કલાકે આસનસોલ પહોંચશે. આ ટ્રેન 13 એપ્રિલ, થી 29 જૂન સુધી ચલાવવામાં આવશે. તે જ રીતે, પરતમાં ટ્રેન નંબર 09206 આસનસોલ–પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ આસનસોલથી દર બુધવારે રાત્રે 23.05 કલાકે ઉપડીને શુક્રવારે સાંજે 17.41 કલાકે રાજકોટ અને રાત્રે 21.50 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલ,થી 01 જુલાઈ સુધી ચલાવાશે. આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જં., ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જં., ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, ગયા, કોડરમા, હજારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જં. ગોમો અને ધનબાદ સ્ટેશનો પર ઉભી રહેશે. ટિકિટનું 10મી એપ્રિલથી બુકીંગ શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

ઘટના સીસીટીવીમાં કેદ:જામજોધપુરમાં સવા લાખનું રોટાવેટર નિશાચરો ચોરી ગયા

જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ગીંગણી રોડ ઉપર આવેલા એક શો રૂમમાં ખબકેલો તસ્કર સવા લાખ ઉપરાંતની કિંમતનું રોટાવેટર ચોરી જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લાલપુર, જામજોધપુરમાં ટ્રેક્ટરનો શો રૂમ ધરાવતા પ્રફુલભાઇ સામતભાઇ જોગલ (રહે.પારેખ બાગ લાલપુર તા.લાલપુર) એ ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર જામજોધપુર ગીંગણી રોડ કોલેજ સામે આવેલા પોતાના શો રૂમમાં બહાર રાખેલા રોટાવેટરને તા.5 એપ્રિલની રાત્રે કોઇ અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું હતું. સવારે કર્મચારી દ્વારા ઓફિસ ખોલતા સ્ટોકમાં રહેલા રોટાવેટરમાંથી એક રોટાવેટર ગાયબ હોવાનું સામે આવ્યું હતું, જેની તપાસમાં રૂ.1,37,000ની કિંમતનું રોટાવેટર અજાણ્યો શખ્સ પોતાના ટ્રેક્ટરમાં લગાવી નાશી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી ફરિયાદ બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

તપાસ:વ્યાજખોરીની ફરિયાદ નોંધાવનાર શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ

જામનગર શહેરમાં વ્યાજખોરીનો ભોગ બનેલા શખ્સ સામે એક વ્યક્તિએ ગાડીઓ ભાડે રાખી રૂા.5.10 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા સારી એવી ચકચાર જાગી છે.ગુણાતીતાનંદનગરમાં રહેતા અને વાહનો ભાડે ફેરવવાનો વ્યવસાય કરતા સંજય નકુમ અને તેમના પિતા રણમલ કુરજીભાઈ નકુમે ટ્રાવેલ્સ એજન્સીમાં ગાડીઓની જરૂર છે કહીને સારા ભાડાની લાલચ આપી ફરિયાદી અને તેમના પરિચિતોને વિશ્વાસમાં લીધા હતા. જેથી 14 જેટલી ગાડીઓ આ પિતા-પુત્રને ભાડે આપી હતી. વધુમાં રૂા. 5.10 લાખ રોકડા પણ આપ્યા હતા. જોકે ભાડા આપવા સમયે આરોપીઓએ ઊંચા હાથ ધરી ફોન બંધ કરી દીધા હતા.તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીએ આ તમામ 14 ગાડીઓ જામનગરના અલગ-અલગ વ્યક્તિઓ પાસે બારોબાર ગીરવે મૂકી દીધી હતી. આ વાહનો ગીરવે મૂકીને તેના પર 10% થી 30% સુધીના ઉંચા વ્યાજે મોટી રકમ મેળવી લીધી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ કેસના આરોપીએ એવા સંજય રણમલભાઇ નકુમેં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ 24 થી વધુ ગાડી ગિરવે મુકી તોતિંગ વ્યાજે નાણાં મેળવ્યા હોવાનો ઉલ્લેખ કરાતા પોલીસે આ દિશામાં તપાસ આરંભી અન્ય ગાડી માલિકો મામલે તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

ચકચાર:ખર્ચના પૈસા માંગતા મિત્રે જ ધક્કો મારી યુવકને તળાવના પાણીમાં નાખી પથ્થર ઝીંકી ઢીમ ઢાળ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે તળાવમાં ડુબી જતા પરપ્રાંતિય મિકસર ચાલક યુવાનનો મૃતદેહ મળી આવ્યાના પ્રકરણમાં ખર્ચના પૈસા માંગતા મિત્રે જ તળાવમાં ધકકો મારી પથ્થર ઝીંકી હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.પોલીસે પરપ્રા઼તિય યુવાનની હત્યા મામલે મધ્યપ્રદેશના શખસ સામે ગુનો નોંધી તેની ઘરપકડ કરી છે.પૈસાની લેતી દેતીના સામાન્ય ઝઘડામાં જ આરોપીએ હત્યા નિપજાવીને બનાવને આપઘાતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાનુ પણ સામે આવ્યુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં મિકસર ડ્રાઇવર તરીકે કામ કરતા સંતોષકુમાર શિવશંકર ગ્વાલા (યાદવ) (રે. મુળ પડરછ, ડાલાપીપર, સોનભદ્ર, ઉતરપ્રદેશ) નામનો યુવાન તળાવમાં પડી ગયા બાદ બીજા દિવસે મહામહેનતે તેનો મૃતદેહ બહાર કાઢયો હતો.જે ઘટના પ્રારંભિક તબકકે આપઘાતમાં ખપાવવા પ્રયાસ થયો હતો.જેમાં તેના જ સાથી કર્મી મિત્રે રામનરેશ મોતીલાલ સાકેત (રે.હાલ લાંબા, મુળ રે. લૌઆ, બહરી, મધ્યપ્રદેશ)એ મૃતક તળાવમાં કુદી પડયો હોવાની કેફિયત તેના પરીજનોને રજુ કરી હતી.જોકે,પોલીસની પુછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબુલી લીઘી હતો. મૃતક સંતોષકુમાર અને તેનો મિત્ર રામનરેશ બંને ગત તા.6ના સવારે નાસ્તો લઇ ગધા તળાવ પાસે ગયા હતા.જે દરમિયાન નાસ્તો કરતી વખતે ખર્ચના પૈસા સંતોષકુમારે માંગતા રામનરેશ સાથે બોલાચાલી થઇ હતી.જે બંને વચ્ચે બોલાચાલીએ થોડીવારમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ.જેમાં એકદમ ઉશ્કેરાયેલા આરોપી રામનરેશે સંતોષકુમારને તળાવના પાણીમાં ધકકો મારી ઉપરથી પથ્થરનો ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી હોવાનુ સામે આવ્યુ છે. આ સમગ્ર બનાવ મામલે મૃતકના ભાઇ રામશકલ શિવશંકર ગ્વાલાની ફરીયાદના આધારે કલ્યાણપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રામનરેશની ધરપકડ કરી લીઘી છે.પૈસાની સામાન્ય લેતીદેતીમાં મિત્રે જ મિત્રની ક્રૂર હત્યા નિપજાવી હોવાના બનાવના પગલે ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.આરોપી અને મૃતક બંને એકજ કંપનીમાં ડ્રાઇવીંગ કામ કરતા હતા.આ બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. સવસેટા અને સ્ટાફે હાથ ધરી છે. આરોપીએ રડતા રડતા કહ્યું, તમારો ભાઈ તળાવમાં કૂદી ગયો છેઆરોપી રામનરેશે મૃતક સંતોષના ભાઇ રામશકલને સવારે સાડા નવ વાગ્યે ફોન કર્યો હતો.જે વેળાએ આરોપી અને મૃતક બંને સાથે વાત થઇ હતી.જેમાં બીજી જગ્યાએ નોકરી ગોઠવવા માટે પણ ફોનમાં વાત થઇ હતી.જે બાદ પોણા બાર વાગ્યાની આસપાસ ફરી આરોપીએ ફોન કરી હુ તથા તમારો ભાઇ સંતોષ બંને તળાવ બાજુ નાસ્તો લઇ ફરવા ગયા હતા જે વેળાએ તમારો ભાઇ તળાવમાં કુદી ગયો છે એમ રડતા રડતા વાત કરી હતી જેના પગલે રામશકલ ઉપરાંત તેના શેઠ અને મિત્ર સાથે વાહન મારફતે લાંબા પહોચ્યા હતા.જે બાદ છેક બીજા દિવસે સઘન પુછપરછમાં આરોપીએ મારાથી ખોટુ થઇ ગયાનુ કહી બનાવની કેફિયત રજુ કરી હોવાનુ સામે આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

સુવિધા:ઓખા-શકૂર બસ્તી વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા–શકૂર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે આવેલું) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેન સંખ્યા 09523/09524 ઓખા–શકૂર બસ્તી સુપરફાસ્ટ સમર સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેનના 24 ફેરા રહેશે. ટ્રેન સંખ્યા 09523 ઓખા–શકૂર બસ્તી સુપરફાસ્ટ સમર સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 કલાકે ઉપડશે, તે જ દિવસે 14:40 કલાકે રાજકોટ અને બીજા દિવસે 10:35 કલાકે શકૂર બસ્તી પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલથી 30 જુન સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09524 શકૂર બસ્તી–ઓખા સુપરફાસ્ટ સમર સ્પેશિયલ દર બુધવારે શકૂર બસ્તીથી 13:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:58 કલાકે રાજકોટ તથા 13:00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલથી 1 જુલાઈ સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-2 ટિયર, એસી-3 ટિયર, એસી-3 ટિયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે. ટ્રેન સંખ્યા 09523નું બુકિંગ 10 એપ્રિલથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www. enquiry.indianra il.gov. in પર જઈને અવલોકન કરી શકશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

વિરોધ:શહેરના આવાસમાં નિયમોનો સરેઆમ‎ભંગ, ફલેટ ભાડે-વેચાણ થતાં ભારે રોષ‎

જામનગરના મોહનગર પાસે આવેલા આવાસોની 16 બિલ્ડીંગોમાં લોકોએ ગેરકાયદે ફ્લેટો ભાડે અને વેંચાણથી આપીને જાનગર વિસ્તાર વિકાસ સતામંડળની કચેરીના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવતા હોવાની ઓમ રેસીડેન્સી એસોસીએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જામનગરના ગુલાબનગર મોહનગર પાસે, આવેલા પ્રધાનમંત્રી આવાસના ઓમ રેસડેન્સી કો-ઓનર્સ એસોસીએશન દ્વારા જાડાના કચેરીએ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કે, આવાસના 16 બિલ્ડીંગમાં વિકાસ સતા મંડળના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવે છે. કોઈપણ ફલેટ ધારક તેને ફાળવેલ ફલેટ સાત વર્ષ સુધી અન્ય કોઈને ભાડેથી કે વેચાણથી આપી શકશે નહીં. તે નિયમોનું ઘણા ફલેટ માલિકોએ સરેઆમ ઉલ્લંઘન કરેલ છે. આ આવાસ વર્ષ 2018માં બન્યા છે ત્યારથી જાડા કચેરી દ્વારા આવાસમાં ભાડુઆતી ફલેટો ખાલી કરાવવાની કાર્યવાહી આજ દિવસ સુધીમાં કરવામાં આવેલ નથી. તેથી આજ અડધાથી વધુ આવાસમાં ભાડુતો વસવાટ કરી રહ્યા છે. અને તેને કારણે ઘરના ફલેટ માલિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નિયમોની અમલવારી ન કરાવતા આવાસમાં રહેતા ગરીબ, નાના અને નબળા વર્ગના લોકોને ભારે હાલાકી પડી રહી છે અને ફલેટધારકોમાં આક્રોશ વધી ગયો છે અને તાકીદે આવાસમાંથી ભાડુઆતો ખાલી કરાવીને મકાનો સીલ કરવાની કાર્યવાહી જાડા કચેરી દ્વારા નહીં કરાઈ તો જામનગર-રાજકોટનો મેઈન રોડ પર રસ્તા રોકો આંદોલન ની ચીમકી લોકોએ ઉચ્ચારી છે. આંદોલનની તમામ જવાબદારી જાડા કેચીરીને રહેશે, તેમાં અમો એસોસીએશનની ગેરકાયદે રીતે ભાડે-વેચાણ આપેલ ફલેટોના માલીકો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. આંદોલનની તમામ જવાબદારી જાડા કેચેરીની રહેશે. તેમજ એસોસીએશનની ગેરકાયદે રીતે ભાડે-વેચાણ આપેલ ફલેટોના માલીકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લે આપની કચેરીના કોઈપણ ફલેટ ધારક પોતાનો ફલેટ સાત વર્ષ સુધી અન્ય કોઈને ભાડેથી કે વેચાણથી આપી શકશે નહીં. એ નિયમનું અમારા આવાસમાં કડકપણે પાલન કરાવો. લોકો હવે ઉગ્ર આંદોલન કરવાના મુડમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સિવાયના અન્ય શહેરોમાં વારંવાર સરકારી આવાસોમાં સાત વર્ષના નિયમનો ભંગ કરીને ગેરકાયદે રીતે ભાડે આપેલ ફલેટોને સીલ કરવામાં આવે છે, તો જામનગરમાં કેમ નહીં તેમ પણ એસોસિએશનના લોકોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

તકેદારી:હિટવેવને પગલે પશુઓને સવારે 11થી 4 સુધી છાયડા-હવા ઉજાસવાળા સ્થળે રાખવા જોઈએ

હાલના ઉનાળુ તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાને રાખીને જામનગર જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક દ્વારા પશુપાલકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં ગ્રીષ્મ લહેર એટલે કે હીટ વેવ દરમિયાન પશુઓના આરોગ્યનું રક્ષણ કરવા અને જરૂરી સાવધાનીના પગલાં લેવા જણાવાયું છે. ઉનાળાની આડઅસરો સામે પશુઓને રક્ષણ આપવા માટે પશુપાલકોએ કેટલાક પાયાના પગલાં ભરવા જરૂરી છે, જેમાં પશુઓને સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફરજિયાત છાંયડા અને પૂરતા હવાઉજાસવાળા સ્થળે રાખવા જોઈએ. પશુઓને સામાન્ય કરતા બમણું અને પુષ્કળ પ્રમાણમાં તાજું તથા સ્વચ્છ પાણી પીવડાવવું જોઈએ તેમજ દિવસના ઠંડા સમયે જ ચરાવવા કે ખોરાક આપવો હિતાવહ છે. ખોરાકમાં લીલોચારો અને મિનરલ મિક્ચરનો ઉપયોગ વધારવો જોઈએ તથા પશુઓના રહેઠાણના શેડમાં વેન્ટિલેશન, ભીના કોથળા, પંખા કે ફોગિંગની વ્યવસ્થા કરવી જોઈએ. આ ઉપરાંત દિવસમાં ઓછામાં ઓછી એક વાર પશુઓને સ્નાન કરાવવું જોઈએ. જેથી તેમના શરીરનું તાપમાન જળવાઈ રહે. પશુઓમાં જોવા મળતી ગરમીની વિવિધ અસરો જેવી કે તડકાથી દાઝવું, સ્નાયુઓની ખેંચ, થાક કે હીટ સ્ટ્રોક જેવી સ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી ખૂબ જ જરૂરી છે. પશુની ત્વચા લાલ થાય કે સોજો આવે તો પાણીનો છંટકાવ કરી એન્ટીસેપ્ટીક ડ્રેસિંગ કરવું જોઈએ અને જો પશુ હાંફતું હોય કે તેના ધબકારા વધી ગયા હોય તો તેને તાત્કાલિક ઠંડા સ્થળે લઈ જઈ શરીર પર ઠંડુ પાણી નાખવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

ફરિયાદ:વારાહ સ્વરૂપ ગામના યુવાનને અવાવરૂ જગ્યાએ બોલાવી બિભત્સ વીડિયો ઉતારી 5 શખ્સે 5 લાખની ખંડણી માંગી

જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામમાં એક યુવકને રાત્રીના સમયે હિંડોરણા નજીક અવાવરૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ બેફામ માર મારી બિભત્સ વિડીયો ઉતારી 5 લાખની ખંડણી માંગ્યાની તથા રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના રાજુલા તાલુકાના હિંડોરણા ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સમયે બની હતી. જાફરાબાદના વારાસ્વરૂપ ગામે રહેતા રોનકદાસ ભરતદાસ મેસવાણીયા (ઉ.વ.21) નામના યુવાને આ બારામાં હિંડોરણાના કરણ દંતુ પટાટ, રાજુલાની સમીનાબેન સેલોત, જીતુ રાઘવ ચૌહાણ અને બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે કરણ પટાટે તેને રાત્રીના સમયે ફોન કરી હિંડોરણા બોલાવ્યો હતો. જ્યા બાકીના શખ્સો અગાઉથી હાજર હતા. આ શખ્સોએ તેને બાવળની કાંટમાં લઈ જઈ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. તેને લાકડી વડે પણ માર મારી તેનું પેન્ટ ઉતારી બિભત્સ વિડીયો ઉતાર્યો હતો અને બાદમાં તેના ખીચ્ચામાંથી રૂપિયા 1950ની રોકડ રકમની લૂંટ કરી લીધી હતી અને બાદમાં રૂપિયા 5 લાખની ખંડણી માંગી હતી. જતા જતા પણ આ શખ્સોએ તેને ધમકી આપી નવા મોબાઈલની લૂંટ કરી હતી. જે અંગે તેણે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. દુષ્કર્મના કેસમાં ફીટ કરવાની ધમકી પાંચેય શખ્સોએ જો રૂપિયા 5 લાખની ખંડણી નહી આપે તો દુષ્કર્મના કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી. ઉપરાંત એટીએમમાંથી રૂપિયા 1 લાખ ઉપાડવા માટે તેને બાઈક લઈને જવા દીધો હતો અને તે વખતે કોઈને વાત કરીશ તો વિડીયો વાઈરલ કરીશું તેવી ધમકી આપી હતી. જો કે યુવાન સીધો પોલીસ મથકે પહોંચ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

છેતરપીંડી:લોનની લાલચમાં ટીંબીના વેપારી સાથે 1.55 લાખની ઓનલાઈન છેતરપિંડી

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતા એક વેપારી સાથે સસ્તી લોન આપવાના બહાને ઓનલાઈન છેતરપીંડી થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા મોબાઇલ નંબર ધારકોએ ખાનગી ફાઇનાન્સ કંપનીના નામે વિશ્વાસમાં લઇ અલગ અલગ ચાર્જના બહાને કુલ રૂપિયા 1,55,469 પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. જાફરાબાદના ટીંબી, ભાડા રોડ પર ઈન્દીરા આવાસ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ભાણાભાઈ પરમાર (ઉ.વ.37) ને 3 માર્ચથી 10 માર્ચ દરમિયાન અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારાએ પોતે યશ ફાઇનાન્સમાંથી ભાવિકાબેન બોલતી હોવાનું કહી ઓછા વ્યાજદરમાં લોન મળશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અન્ય નંબર પરથી વોટ્સએપ મેસેજ અને વોઇસ કોલ કરી પાંચ લાખની લોન મંજૂર થશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. આ દરમિયાન આરોપીઓએ લોન ફાઈલ ચાર્જ, ફિક્સ ડિપોઝિટ, ઇન્સ્યોરન્સ, લોન કમિશન, બેંક ચાર્જ અને NOC ચાર્જ જેવા અલગ અલગ બહાના બનાવી ફરિયાદી પાસેથી વિવિધ UPI ID અને બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. ભરતભાઈ પાસેથી 6 માર્ચથી 10 માર્ચ વચ્ચે કુલ રૂપિયા 1,55,469 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ આરોપીઓએ ફોન બંધ કરી દીધો હતો અને લોન પણ આપી ન હતી. આ અંગે ભરતભાઈ પરમારે ગઈ કાલે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો. આમ, જિલ્લામાં વધુ એક વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

માંગણી:સાવરકુંડલા BLOની માહિતી 10 દિ'માં વિનામૂલ્યે આપવી : માહિતી આયોગ

સાવરકુંડલા શહેરની ગત ચૂંટણીઓ સમયનાં BLOની કામગીરી બાબતમાં તંત્ર દ્વારા માહિતી છુપાવી કર્મચારીને છાવરવા હવે તંત્ર માટે મુશ્કેલ બની રહીછે. સાવરકુંડલાના જાગૃત નાગરિક અને અરજદાર ગોપાલભાઈ કાચાએ RTI હેઠળ એક BLOની કામગીરીની માહિતીના દસ્તાવેજોની આર.ટી.આઈ. દ્વારા માહીતી માંગીને માંગણી કરાઇ હતી. જોકે સ્થાનિક જાહેર માહિતી અધિકારી દ્વારા તથા પ્રથમ અપીલ અધિકારી દ્વારા સંતોષકારક પ્રતિસાદ ન આવતાં જે તે સમયના BLOની અધુરી કામગીરી છાવરતા હતાં. સાવરકુંડલાના જાગૃત નાગરિકને માહીતી અધિકારી મુજબ બી.એલ.ઓ.ની માહીતી આપવામાં ન આવતા આ મામલે તેમને ગાંધીનગર ખાતે માહિતી આયોગ સુધી પહોંચાડ્યો હતો. માહિતી આયોગે BLOની માહિતી બાબતે કરેલ અરજી નંબર અ 773-2026ની સુનાવણી દરમ્યાન અરજદાર ગોપાલભાઈ કાચા દ્વારા ધારદાર ન્યાયિક રજૂઆતો કરતાં જણાવ્યું હતું કે BLOની કામગીરી પારદર્શક હોય અને જાહેર હિતનો વિષય છે. કોઈ એક BLOની માહિતી જાહેર હિત જ ગણાય. કેમકે BLOની કામગીરી જે તે વિસ્તારની પારદર્શિતા હોય, તેને છુપાવી શકાય નહી. અને BLOની અંગત માહિતી ગણી શકાય નહી. મામલતદાર કચેરીના પ્રતિનિધી દ્વારા RTI અને ત્યારબાદ પ્રથમ અપીલ નકારી કાઢી નાંખવામા આવેલ. માહીતી આયોગે આ બાબત ને ગંભીરતાથી લઈ દિવસ 10મા અરજદારને તમામ માહિતી વિનામૂલ્યે આપવા માટે હુકમ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

આયોજન:અમરેલીનું અનુકંપા ફાઉન્ડેશન 250 વૃદ્ધને સોમનાથ–દ્વારકાની નિઃશુલ્ક યાત્રા કરાવશે

અમરેલીની સેવાભાવી સંસ્થા અનુકંપા ફાઉન્ડેશન દ્વારા સિનિયર સિટીઝનો માટે સોમનાથ–દ્વારકાની ત્રણ દિવસીય નિઃશુલ્ક તીર્થયાત્રાનું પાંચમું આયોજન તા. 13 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. આ યાત્રામાં 250 વડીલો પાંચ બસોમાં સોમનાથ–દ્વારકા દર્શન માટે રવાના થશે. અમરેલી સ્થિત લોહાણા મહાજનવાડીથી દાનબાપુની જગ્યાના વલકુબાપુ દ્વારા બસોને પ્રસ્થાન કરાવવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી હકુભા જાડેજા ઉપસ્થિત રહેશે. અમરેલીના ડો. ભરત કાનાબારની રાહબરી હેઠળ કોરોના કાળથી સેવાકાર્યોમાં સક્રિય રહેલી અનુકંપા ફાઉન્ડેશને ગયા વર્ષથી જીલ્લાના વડીલોને નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવવાનો અભિયાન શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં ચાર સફળ પ્રવાસો પૂર્ણ થઈ ચૂક્યા છે અને 600 જેટલા સિનિયર સિટીઝનોને આ યાત્રાનો લાભ મળ્યો છે. આ યાત્રા માટે સમાજના દાતાઓ દ્વારા ઉદાર આર્થિક સહકાર પ્રાપ્ત થયો છે. જેમાં અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ તેમના સ્વ. ધર્મપત્નિ મુકતાબેનના સ્મરણાર્થે રૂપિયા 1.11 લાખનું અનુદાન આપ્યું છે. ઉપરાંત જે.પી. સોજીત્રા અને ભાવિનભાઈ સોજીત્રા, એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદી, ઉદ્યોગપતિ ધનજીભાઈ રાખોલીયા, ચકાભાઈ રાજપોપટ તથા રાજુભાઈ કામદાર સહિતના દાતાઓએ પણ યાત્રા માટે આર્થિક સહયોગ આપ્યો છે. યાત્રાના સફળ આયોજન માટે સંસ્થાના કાર્યકરો ભીખુભાઈ અગ્રાવત, મધુભાઈ આજુગીયા અને એડવોકેટ ચેતનભાઈ રાવળના માર્ગદર્શન હેઠળ અનેક સેવાભાવી કાર્યકરો દ્વારા યાત્રિકોના નિવાસ, ભોજન, સંકલન અને વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. યાત્રાને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

અકસ્માત થવાની ભીતિ:અમરેલી જિલ્લા કલેકટર કચેરી નજીક‎જ પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર તોડી પડાયા‎

અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. પરંતુ અમરેલી જિલ્લા કલેકટર કચેરી નજીક જ છેલ્લા બે માસથી પ્લાસ્ટિકના સ્પિડબ્રેકર તોડી નાખવામાં આવ્યા છે. અહીં અકસ્માત ઝોન બન્યો છે. અમરેલીમાં મળેલી માર્ગ સલામતી સમિતિની બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ ચર્ચાઓ માત્ર બેઠકમાં જ થાય છે. ખરા અર્થમાં પાલન થતું નથી. અમરેલી જિલ્લા કલેકટર કચેરી નજીક રાજમહેલ ગોળાઈમાં છેલ્લા બે માસથી પ્લાસ્ટિકના સ્પિડબ્રેકર તોડી નાખવામાં આવ્યા છે. પરંતુ અહીં નવા લગાવમાં આવ્યા નથી. તેમજ માર્ચ માસ દરમિયાન વિભાગીય નિયામક એસટી દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરો માટે માર્ગ સલામતીના કાયદા સહિતની વિગતો આવરી લેતા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, અતુલ સિંઘ, નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જોશી, વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

આત્મહત્યાનો પ્રયાસ‎:બોરાળા ગામમાં બહેન સાથેના ઝઘડામાં યુવતીએ દવા પીતા હોસ્પિટલમાં દાખલ

ખાંભા તાલુકાના બોરાળા ગામે પરિવારિક ઝગડાની નાની બાબત ગંભીર બની જતા એક યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ખાંભાના બોરાળા ગામે રહેતી દિવ્યાબેન દેવાભારતી નનુભારતી ગોસ્વામી (ઉ.વ.23) પોતાના ઘરે બપોરનું જમવાનું બનાવી રહી હતી. તે દરમિયાન તેમની બહેન મીતેલબેને રસોઈ બનાવવાની બાબતે ટિપ્પણી કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન થયેલા ઝગડાની વાત દિવ્યાબેનના મનમાં લાગી આવતા તેમણે પોતાના ઘરે કપાસના પાકમાં છાંટવા માટે રાખેલી દવા પી લીધી હતી. આ બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા તરત જ દિવ્યાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ખાંભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

સમસ્યા:ચિત્તલ રોડ પરની પોસ્ટલ સોસાયટીમાં ગટરની સફાઈ ન થતા લોકો પરેશાન

અમરેલીના ચિત્તલ રોડ પોસ્ટલ સોસાયટીમાં બે દિવસ પૂર્વે ભૂગર્ભ ગટરનું ઢાંકણો તોડી જતા રહ્યા હતા અને ગટરની સફાઈ કરી ન હતી. ત્યારબાદ ગટરની સફાઈ કર્યા બાદ નવા ઢાંકણ ફીટ કરી દીધા હતા. જેના પગલે લોકોમાં રોષ ફેલાયો છે. આમ, રસ્તાની વચ્ચોવચ્ચ ઉભરાતી ગટરથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને માખી, મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. અમરેલીમાં ચિતલ રોડ પોસ્ટલ સોસાયટીમાં ગટર સફાઈ કર્યા વગર જુના ઢાંકણો તોડી નવા ફીટ કરી દેતા સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલીમાં ચિતલ રોડ પર પોસ્ટલ સોસાયટીમાં ભૂગર્ભ ગટર જામ થઈ ગય છે. અહીં સફાઈ કરવા એક માસ પૂર્વે માંગણી કરવામાં આવી હતી. અવારનવાર ટેલીફોન અને રૂબરૂ માંગ કરતા બે દિવસ પૂર્વે તંત્ર અહીં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા પહોંચ્યું હતું. અહીં ગટરના ઢાંકણ તોડી કામગીરી કરનાર કર્મચારીઓ મોટુ પ્રેશર મશીન જોશે તેવું કહી જતા રહ્યા હતા. ત્યારબાદ ગટરની સફાઈ તો કરવામાં આવી ન હતી. પરંતુ નવા ઢાંકણા લગાવી સંતોષ માની લેવામાં આવ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે અહીં ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

આત્મહત્યા:સાવરકુંડલામાં મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સાવરકુંડલા શહેરના જેસર રોડ પર આવેલી ગીતાંજલી સોસાયટી વિસ્તારમાં એક મહિલાએ દીકરીની સગાઈ નહીં થતી હોવાથી તણાવમાં આવી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સાવરકુંડલાના જેસર રોડ પર આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતા અનસુયાબેન મુકેશભાઈ પાચાણી (ઉ.વ.45) છેલ્લા બે વર્ષથી દીકરીની સગાઈ નહીં થતા તેઓ તણાવ અનુભવતા હતા. આ તણાવને કારણે તેમણે ગઈ કાલે સવારે 10:30 પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. જે અંગે તેમના પતિ મુકેશભાઈ બાઘુભાઈ પાચાણી (ઉ.વ.45) દ્વારા જાણ કરવામાં આવતા સાવરકુંડલા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

કુરિવાજોને તિલાંજલિ આપી જીવદયાનો સંદેશ:સાવરકુંડલાના સદ્દગત આત્માની સ્મૃતિમાં 856 બોટલ નવરત્ન કણથી અબોલ જીવોની સેવા

સાવરકુંડલા શહેરના લોહાણા સમાજના એક પ્રતિષ્ઠિત પરિવારે સદગત આત્માની સ્મૃતિમાં એક અનોખું અને પ્રેરણાદાયી કાર્ય કરીને સમાજ સમક્ષ જીવદયાનો સુંદર સંદેશ આપ્યો છે. પરંપરાગત કુરિવાજો અને આડંબરોમાં ખર્ચ કરવા બદલે આ પરિવારે અબોલ જીવોની સેવા કરવાનો માર્ગ પસંદ કર્યો છે, જે સમગ્ર પંથક માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. સાવરકુંડલા લોહાણા પરિવારમાં થયેલા અવસાન બાદ પાંચમના પારણા નિમિત્તે પરિવારજનો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શુદ્ધ ઘીમાં ઘઉં, બાજરો, ચણાનો લોટ, રવો, સીંગદાણા, તલ અને સાકર જેવી નવ પ્રકારની પૌષ્ટિક સામગ્રી ધીમા તાપે શેકીને નવરત્ન કણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ તૈયાર કણને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચવા અને વેસ્ટેજનો સદુપયોગ કરવા માટે 856 ખાલી પાણીની બોટલોમાં ભરીને વિવિધ કુદરતી સ્થળોએ મૂકવામાં આવ્યા, જેથી કીડી સહિતના અસંખ્ય સૂક્ષ્મ જીવોને આહાર મળી રહે. સામાજિક રિવાજો અને વિધિઓમાં મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય છે, પરંતુ આ લોહાણા પરિવારે તે ખર્ચને જીવદયા માટે વાપરી કીડીને કણ અને હાથીને મણ જેવી કહેવતને સાચા અર્થમાં જીવંત કરી છે. આ પહેલ દ્વારા તેમણે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને અબોલ જીવો પ્રત્યેની કરુણાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળે જ્યારે તેમના સ્મરણમાં જીવદયા અને સેવા જેવા કાર્ય કરાઇ. આ કાર્ય દ્વારા મળેલો આત્મિક સંતોષ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

ઘાતકી હત્યા:તિલકવાડા નજીક પત્નીએ જ પતિની માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી

મધ્યપ્રદેશ અલીરાજપુરના મૂળ રહીશ દંપતી વોરા ગામમાં થી શાકભાજી લઇ પિતાના રહેઠાણ તરફ રાત્રીના જતા હતા જેમાં વચ્ચે બંને વચ્ચે ઝગડો થતા પત્નીએ પતિને માથામાં પથ્થરમારી હત્યા કરી પોલીસે પત્નીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશ અલીરાજપુરના કોસારી ગામના મૂળ રહીશ અને હાલ તિલકવાડાના તેડીયા સાહેબપુરા ખાતે છાપરું બનાવી 24 વર્ષીય અરવિદ રણસિંહ નાયક તથા તેની 32 વર્ષીય પત્ની રેખા નાયક છાપરુ બનાવીને રહે છે. પતિ અને પત્ની ભાઠામાંથી શાકભાજી લઇને ચીલા વાટે થઈને તેમના રહેણાંક છાપરા પર મોજે તેડીયા સાહેબપુરા ચાલતા જઇ રહેલ હતાં. વોરા સીમ હનુમંતેશ્વર મંદિરની પાછળ હેરણનદીના ભાઠામાં આવતા પતિ પત્નિ વચ્ચે બોલાચાલી થઇ હતી. પતિએ તેની પત્નીને તારે મારી સાથે નથી રહેવાનું તારે જ્યાં રહેવું હોય ત્યા જતી રે તેમ જણાવી ગાલ પર બે તમાચા મારતા પત્નીને ગુસ્સો આવ્યો હતો. જેથી તેણે નદીના પટમાનો પથ્થર હાથમા પકડી પતિને માથાના ભાગે જમણી બાજુ મારી દીધો હતો. ગંભીર ઇજાના પગલે પતિનું સ્થળ પર જ મોત થઇ ગયું હતું. આ બાબતે પોલીસ ને જાણ થતા તિલકાવડા પી.આઈ એ.પી.મોલકી ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

નિવૃત્તિ પોલીસકર્મીએ મિલાવ્યા બૂટલેગર સાથે હાથ:પારડીમાં દારૂની ખેપ મારતા નિવૃત્ત પોલીસકર્મી ઝડપાયો

જે હાથોમાં ક્યારેક કાયદાનું પાલન કરાવવાની લાકડી હતી, એ જ હાથોમાં આજે દારૂની બાટલીઓ અને લોખંડી હાથકડીઓ જોવા મળી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર પાતલીયા ચેકપોસ્ટ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક એવા બુટલેગરને ઝડપી પાડ્યો છે, જેનું નામ જાણીને ખુદ પોલીસ બેડામાં પણ સોપો પડી ગયો છે. આ બુટલેગર બીજું કોઈ નહીં પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા લોટનભાઈ ગણપતભાઇ વાડીલે છે. નિવૃત્ત જમાદાર પોતાની જ્યુપીટર મોપેડ (GJ-15-EP-0087) પર દમણથી દારૂનો જથ્થો લાવી રહ્યા હતા. પોલીસે અટકાવી તપાસ કરતા મોપેડની ડીકી અને થેલીઓમાંથી વિદેશી દારૂ તથા બીયરની 150 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને મોપેડ મળી કુલ રૂ. 88,184 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિવૃત્તિ બાદ સન્માનજનક જીવન જીવવાને બદલે લોટનભાઈએ બુટલેગરો સાથે હાથ મિલાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે તેઓ આ જથ્થો વલસાડના આનંદ મહેશ પટેલને પહોંચાડવાના હતા. એક સમયે જે પોલીસ સ્ટેશનમાં માન મળતું હતું, આજે તે જ લોકઅપમાં જવાનો વારો આવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

ગૌરવની વાત:દાનહની બે દીકરી સપના અને સિદ્ધિની ગુજરાત ક્રિકેટમાં પસંદગી

દાદરા નગર હવેલીની દીકરીઓએ ક્રિકેટના મેદાનમાં ઇતિહાસ રચ્યો છે. ખેલ અને યુવા મામલાના નિર્દેશક અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ, પ્રદેશની મહિલા ક્રિકેટ ખેલાડી સપના ગુપ્તા અને સિદ્ધિ દુબેની ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા જિલ્લા સ્તરીય સ્પર્ધા માટે પસંદગી કરી છે. અમદાવાદના પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન બાદ આ બંને ખેલાડીઓએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ સફળતાનો શ્રેય આપતા સપના ગુપ્તાએ કોચ વત્સલ પટેલના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી. વત્સલ પટેલે જણાવ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં સખત પરિશ્રમ જ સફળતાની ચાવી છે. ઉલ્લેખનીય છે કે, GCA એ BCCI સંલગ્ન સંસ્થા છે, જેમાં સુરત, વલસાડ અને ભરૂચ સહિત કુલ 10 જિલ્લાઓ તથા દાદરા નગર હવેલી અને દમણ-દીવનો સમાવેશ થાય છે. ખેલ અને યુવા મામલાના નિર્દેશક નિર્દેશક અરુણ ગુપ્તા અને RDC અમિત કુમારે સપના ગુપ્તા અને સિદ્ધિ દુબે આ બંને ખેલાડીઓને સન્માનિત કરતા જણાવ્યું કે, આ સિદ્ધિ અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ બનશે. આ સફળતા માત્ર ખેલ જગત પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રદેશમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

‎‎જનકલ્યાણકારી યોજનાઓને વેગ ‎‎આપવા શિબિરો યોજાઈ:દાનહમાં લોકહિતકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અનુરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સંઘ પ્રદેશ પ્રશાસકના નેતૃત્વ હેઠળ દાદરા નગર હવેલીમાં જનકલ્યાણકારી યોજનાઓને વેગ આપવા મહત્વપૂર્ણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. કૃષિ વિભાગ, DNHDD PDCL અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે રખોલી, કરાડ, દપાડા, વાસોણા અને સુરંગી પંચાયતોમાં આ શિબિરો યોજાઈ હતી. આ શિબિરોમાં ''પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના'' હેઠળ નાગરિકોને સૌર ઊર્જા અપનાવવા પ્રોત્સાહિત કરાયા. જેમાં ભારત સરકાર તરફથી રૂ. 78,000 અને પ્રદેશ પ્રશાસન તરફથી રૂ. 30,000 સુધીની સબસિડીની જાણકારી આપવામાં આવી હતી. બીજી તરફ, કૃષિ ક્ષેત્રે આદિવાસી અને નાના ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને 40% સબસિડી પર ખાતર વિતરણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીના ખર્ચમાં ઘટાડો કરી ઉત્પાદન વધારવાનો છે. વધુમાં, જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભાવર, CEO અરુણ ગુપ્તા અને આયોજન અધિકારી પંકજસિંહ પરમારે વાસોણા પંચાયતમાં આયુર્વેદ ચિકિત્સાલય અને અન્ય વિકાસકાર્યોનું જાતનિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતથી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

હોટલ અને ‎રિસોર્ટના બાંધકામ મામલે ‎વિવાદ:વલસાડમાં પરમિશન વિના હોટલ રિસોર્ટના નવું બાંધકામ સીલ કરાયું

વલસાડ તિથલ દરિયા કાંઠે આવેલી એક હોટલ અને રિસોર્ટના બાંધકામ મામલે વિવાદ ઉભો થયો છે.આ બાંધકામ ગેરકાયદે હોવાના આક્ષેપ સાથે ગ્રામપંચાયત દ્વારા પોલસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવ્યું છે. વલસાડના રમણીય સમુદ્ર કાંઠા વિસ્તારમાં આવેલી શ્રીલેખા હોટલ અને એચએનટી રિસોર્ટ ગેરકાયદે હોવાના આક્ષેપ સાથે ગ્રામપંચાયતના સરપંચ રાકેશ પટેલે પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરી દેવા પહોંચી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી. સંચાલકોના દાવા મુજબ ચાર માળની મંજૂરી 2021માં મળી હતી અને બધા દસ્તાવેજ કાગળો છે.ગ્રામપંચાયત ગેરકાયદે હોય તો પેપર હોય તે બતાવો તેમ કહી પંચાયતના સરપંચે એમને અગાઉ નોટિસો પણ આપેલી છે અ્ને 1 એપ્રિલના રોજ પર નોટિસ આપી હોવાનું પંચાયત સરપંચ રાકેશ પટેલે જણાવ્યું હતું.જ્યારે સામા પક્ષે સંચાલક વિરલ પટેલે 2021માં રાકેશભાઇ સરપંચ હતા તેમણે જ પરમીશન આપી હતી.હમે બે માળનું બાંધકામની રિવાઇઝની પરવાનગી માગેલી પણ છે તેવી દલીલો રજૂ કરી હતી. સરપંચ રાકેશ પટેલે કહ્યું કે, જે તે સમયે ગ્રાઉન્ડ પ્લસ ટુની પરવાનગી પંચાયતે આપેલી હતી પણ એ લોકો પરમીશન રહેઠાણની માગી હતી,જેમાં હોટલનું બાંધકામ ચાલે છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

‘વિશ્વ એકતા દિવસ’ ઉજવાયો:આબુરોડના શાંતિ વનમાં શ્રદ્ધાંજલિ અર્પણ‎

બ્રહ્માકુમારીઝ સંસ્થાની પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી રતનમોહિનીની પ્રથમ પુણ્યતિથિ બુધવારે વિશ્વ એકતા દિવસ તરીકે ઉજવી હતી. આબુરોડના શાંતિવનમાં નિર્મિત જ્ઞાન રત્ન સ્તંભ પર દેશભરમાંથી આવેલા 2500થી વધુ પદાધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ડાયમંડ હોલમાં યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં મુખ્ય પ્રશાસિકા રાજયોગિની મોહિની દીદીએ જણાવ્યું હતું કે દાદીનું જીવન યોગ,તપસ્યા અને સાધનાનું ઉત્તમ પ્રતિક હતું.તેઓ વર્ષ 1937થી 2025 સુધી સંસ્થાની 89 વર્ષની યાત્રાના સાક્ષી રહ્યા હતા અને 40 વર્ષથી વધુ સમય સુધી યુવા પ્રભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કરી યુવાનોમાં આધ્યાત્મિક જાગૃતિ ફેલાવી હતી. મહાસચિવ બીકે કરુણા ભાઈએ જણાવ્યું કે દાદીના માર્ગદર્શન હેઠળ 2006માં યોજાયેલી સ્વર્ણિમ ભારત યુવા પદયાત્રા દ્વારા સમગ્ર દેશમાં 30 હજાર કિમીનું અંતર કાપી 5 લાખથી વધુ લોકોને શાંતિ, પ્રેમ અને એકતાનો સંદેશ પહોંચાડાયો હતો. યુવા પદયાત્રાએ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. દાદીએ કુલ 13 મેગા પદયાત્રાઓ કરી છે. દાદીના માર્ગદર્શન હેઠળ અંદાજે 70 હજાર કિલોમીટરથી વધુની પદયાત્રાઓ કાઢી છે. દેશ-વિદેશમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી દાદીને સન્માનિત કરવામાં આવ્યા છે. અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગિની જયંતી દીદીએ જણાવ્યું કે દાદીના નેતૃત્વમાં બહેનોને તાલીમ આપવાના વિશાળ કાર્યક્રમો શરૂ થયા અને અત્યાર સુધીમાં 6000થી વધુ સેવા કેન્દ્રો સ્થાપિત થયા છે.કાર્યક્રમ દરમિયાન દાદીના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું..

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી; પાકિસ્તાની શેરબજારે ઈતિહાસ રચ્યો; આખરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર

નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ થવા અંગેના રહ્યા. બીજા મોટા સમાચાર પાકિસ્તાની શેરબજારમાં ઇતિહાસના સૌથી મોટા ઉછાળાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અસમ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પરિણામ 4 મેના રોજ આવશે. 2. સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા રેફરન્સ કેસની સુનાવણી ચાલુ રહેશે. 9 જજોની બેંચ સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. અમેરિકાએ કહ્યું- ઈરાને ભીખ માંગી એટલે સીઝફાયર કર્યું:પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ; ટ્રમ્પ બોલ્યા- ઈરાનને હથિયાર આપ્યા તો 50% ટેરિફ લગાવીશું અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે દાવો કર્યો છે કે ઈરાનની લીડરશીપ સીઝફાયર માટે ભીખ માંગી રહી હતી, કારણ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. તેમણે કહ્યું કે હવે કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવા દેવામાં આવશે નહીં. હેગસેથે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે અને જહાજો ત્યાંથી પસાર થતા રહેશે. અમેરિકા અને ઈરાનની સેનાઓ આ વિસ્તાર પર નજર રાખી રહી છે. ટ્રમ્પ પાસે એટલી શક્તિ હતી કે તેઓ ઈચ્છત તો થોડી જ મિનિટોમાં ઈરાનનું સમગ્ર અર્થતંત્ર ઠપ્પ કરી શકતા હતા, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ ઈરાનને હથિયાર આપશે, તો તેના પર 50% ટેરિફ લગાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પાકિસ્તાની શેરબજારમાં ઇતિહાસનો સૌથી મોટો ઉછાળો:અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી માર્કેટ 14000 પોઈન્ટ વધ્યું, 9% વધીને 1,65,836 પર પહોંચ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત પછી આજે (8 એપ્રિલ, બુધવાર) પાકિસ્તાનના શેરબજારમાં 14,000 પોઈન્ટનો રેકોર્ડ ઉછાળો આવ્યો. કરાચી સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરાચી 100 (KSE) 14,162.58 પોઈન્ટ એટલે કે 9.34% વધીને 165,836.05 પર બંધ થયો. આ KSE-100 ઇન્ડેક્સના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા કરાચી સ્ટોક એક્સચેન્જમાં આટલો મોટો ઉછાળો ક્યારેય જોવા મળ્યો ન હતો. આ ઉછાળા પછી નિયમો હેઠળ ટ્રેડિંગ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભાજપનો આરોપ- કોલકત્તા રેપ મર્ડરની પીડિતાની મા સાથે દુર્વવ્યહાર:પ્રચાર દરમિયાન હુમલાની કોશિશ; મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી પશ્ચિમ બંગાળના પાનિહાટી મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રત્ના દેબનાથે બુધવારે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. તે કોલકાતા બળાત્કાર-હત્યા પીડિતાની માતા છે. તેમણે કહ્યું કે પ્રચાર દરમિયાન ટીએમસીના ગુંડાઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ મારી સાથે રહેલા કાર્યકરો ઘાયલ થયા હતા. ભાજપનો આરોપ છે કે કેટલીક મહિલાઓએ જય બાંગ્લા ના નારા લગાવતા વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને કેટલાક કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, તૃણમૂલ કોંગ્રેસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. CM મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ભાજપે આ મતવિસ્તારમાંથી સુવેન્દુ અધિકારીને ઉમેદવાર બનાવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન:યુપી-એમપી અને રાજસ્થાનમાં વાવાઝોડા સાથે વરસાદ; ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં કરા પડવાની ચેતવણી દેશમાં બેક-ટુ-બેક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હવામાન બદલાઈ ગયું છે. આજે યુપી-રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની સંભાવના છે. જ્યારે 10 રાજ્યોમાં કરા પડી શકે છે. જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ થઈ ગયો. જ્યારે હિમાચલના ચંબામાં મંગળવારે સવારે ભૂસ્ખલનને કારણે નિર્માણાધીન પુલ તૂટી ગયો. ઉત્તર પ્રદેશના લખનઉમાં મંગળવારે મોડી સાંજે ધૂળભરી આંધી ચાલી. 10થી વધુ જિલ્લાઓમાં વરસાદ થયો, ઘણી જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા પડ્યા. રાજસ્થાનના ઉદયપુરમાં આંધીના કારણે મકાનની દીવાલ પડી ગઈ, જ્યારે રણ પ્રદેશના જિલ્લાઓ જેસલમેર-નાગૌરમાં પણ વરસાદ ઉપરાંત કરા પડ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સરકારે કહ્યું- કોર્ટ ધાર્મિક પરંપરાને અંધશ્રદ્ધા કહી શકે નહીં:તમે નિષ્ણાત નથી, આ નિર્ણય વિધાનમંડળ કરશે; કોર્ટ બોલી- અમને સમીક્ષાનો પૂરો અધિકાર છે ધાર્મિક સ્થળોએ મહિલાઓ સાથે ભેદભાવના મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે બીજા દિવસે પણ સુનાવણી ચાલુ રહી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- કોઈ બિનસાંપ્રદાયિક અદાલત કોઈ ધાર્મિક પ્રથાને માત્ર અંધશ્રદ્ધા કહી શકે નહીં, કારણ કે તેની પાસે આવું નક્કી કરવાની નિપુણતા હોતી નથી. તેમણે કહ્યું કે જે વસ્તુ નાગાલેન્ડના કોઈ સમુદાય માટે ધાર્મિક હોઈ શકે છે, તે જ મારા માટે અંધશ્રદ્ધા લાગી શકે છે. આપણો સમાજ ખૂબ જ વૈવિધ્યસભર છે, અહીં અલગ-અલગ લોકો, ધર્મ અને માન્યતાઓ છે. આવા સંજોગોમાં અદાલત માટે આવો નિર્ણય આપવો જોખમી હોઈ શકે છે. આના પર જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું- મિસ્ટર મહેતા, તમે વાતને ખૂબ જ સરળ બનાવી દીધી છે. અદાલત પાસે ન્યાયિક સમીક્ષાનો અધિકાર છે કે તે નક્કી કરી શકે કે શું અંધશ્રદ્ધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર:એક્સ પર લખ્યું-ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. જો કે આ વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ એક્સ પર પોસ્ટ કરી દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું- કે ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો. મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલે રવિવારે ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા અને તેમના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મૂર્ખ બનાવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સસ્પેન્ડેડ નાયબ મામલતદારની 1.22 કરોડની આવક કરતા વધુ સંપતિ:ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગરના NA કૌભાંડનો આરોપી, સગા-સંબંધીના નામે મિલકતો વસાવી સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા અને ફરજ મોકૂફ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી સામે એસીબી દ્વારા વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સામે રૂ. 1,22,27,658ની અપ્રમાણસર મિલકતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વઢવાણમાં રહેતા ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડ બાદ તેમની મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આ વર્ષે ચોમાસામાં 6% ઓછો વરસાદ થવાનો અંદાજ:MP, રાજસ્થાન અને પંજાબ-હરિયાણામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : યુદ્ધ વિરામ પાછળ અસલી ભેજું કોણ?:પાકિસ્તાની PMએ X પર મૂકેલો મેસેજ કોપી-પેસ્ટ, વોર સીઝફાયરની સ્ક્રીપ્ટ ટ્રમ્પે લખી કે જિનપિંગે?; યુઝર્સે દાવ લઈ લીધો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : આસારામના પુત્રના નારાયણ સાંઈના છૂટાછેડા:રેપ કેસમાં સુરત જેલમાં બંધ, 8 વર્ષની લડત બાદ ઈન્દોર ફેમિલી કોર્ટનો ચૂકાદો; 2 કરોડ ભરણપોષણનો આદેશ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 'આર્ટેમિસ-2'એ અંતરિક્ષમાં 'પૃથ્વી ઉદય'ની અદ્ભુત તસવીરો કેદ કરી:ક્રૂએ દુર્લભ સૂર્યગ્રહણ જોયું, ચંદ્રના અંધારા હિસ્સાના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : યુદ્ધ વિરામની માર્કેટ પર જબરદસ્ત અસર:ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટ્યા; સેન્સેક્સ 73,563 પર બંધ, સોનું 4 હજાર વધીને 1.53 લાખ; ચાંદીમાં 13 હજારનો ઉછાળો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સ્મૃતિ-પલાશનું પેચઅપ થયું?:શું હવે લગ્ન કરશે? બંનેના પરિવારના સભ્યો સાથે દેખાયા; સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો જોઈ ફેન્સ આશ્ચર્યમાં વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતની શિષ્યોને શીખ:સાચો પ્રેમ અને સાચી ભક્તિ બંને નિસ્વાર્થ હોવી જોઈએ, જ્યાં સ્વાર્થ આવે છે, ત્યાં પ્રેમની પવિત્રતા રહેતી નથી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ શ્રીલંકાથી ભારત તરીને આવશે 7 વર્ષનો એક બાળક રાંચીનો 7 વર્ષનો ઇશાંક સમુદ્રમાં તરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તે 30 એપ્રિલના રોજ શ્રીલંકાના તલૈમન્નારથી ભારતના ધનુષકોડી સુધીનું આશરે 30 કિલોમીટરનું અંતર તરીને કાપશે. અઢી વર્ષની ઉંમરથી સ્વિમિંગ કરી રહેલો ઇશાંક દરરોજ 4-5 કલાક અભ્યાસ કરે છે. ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: અડધી રાત સુધી ફોન કરતા રહ્યા શરીફ-મુનીર, કેવી રીતે રોક્યું ઈરાન યુદ્ધ; આ મધ્યસ્થીથી પાકિસ્તાનને શું મળશે? 2. Editor's View: ડેડલાઇનની 80 મિનિટ પહેલા શું થયું?: વ્હાઇટ હાઉસમાં બેઠક અને ટ્રમ્પનો મુનીરને ફોન, યુદ્ધવિરામમાં એક્સિડેન્ટલ હીરો બન્યું પાકિસ્તાન, ભારતના ખતરાને આ રીતે સમજો 3. ભાસ્કર સિરીઝ : પોલીસનું નામ સાંભળીને આસારામ છૂમંતર થઈ ગયા!: એક ટ્રિકથી બહાર આવ્યા ને મીડિયાથી ભાગવા દોડાદોડી કરી મૂકી; જુઓ સિરીઝનો એપિસોડ-30 4. પારકી પંચાત : સંઘવી સામે મોરેમોરો આવવા ઈટાલિયા તૈયાર: ઓડિયો વાઇરલ થતા ચોખવટો કરવી પડી; કરસનદાસ બાપુએ જગદીશ પંચાલના ચાળા પાડ્યા 5. MATCH મસાલા : ભલા મોરી રામા ગીત પર ભૂરી નાચી: નેહરાએ ઉઘાડા પગે આંટા માર્યા, દાંતણ કરતો દેખાયો; જયસ્વાલે ફિફ્ટી કરી કોને બેટ બતાવ્યું? 6. કેરલમમાં ટફ ફાઈટ, કોંગ્રેસ+ને 70-80 સીટોના અણસાર: લેફ્ટને મળી શકે છે 60થી 70 સીટે, BJP 3થી 5 સીટો પર આગળ 7. ભાસ્કર એક્સપ્લેનર : સીઝફાયર માટે કેવી રીતે રાજી થયા ટ્રમ્પ-ખામેની: શું 14 દિવસ પછી ફરી યુદ્ધ શરૂ થશે; અમેરિકા-ઈરાન સમજૂતીની ઈનસાઈડ સ્ટોરી 8. 'હું નીકિતાને કોઇપણ ભોગે સાસરે જવા દેવાની નથી': દાદી સાસુના એક લાફાનો બદલો પાવડાથી લીધો, લાશ ઘરમાં મૂકીને જમાઇ-પૌત્રી ગાયબ થઇ ગયા 9. આસામમાં હિમંતા આગળ, 90 બેઠકો જીતી શકે છે NDA: કોંગ્રેસને 15-20 સીટ મળવાની શક્યતા, મિયાં મુસ્લિમ કરતાં મહિલા ફેક્ટર વધુ મજબૂત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મકર-ધન રાશિ માટે સાંજ રોમેન્ટિક, સિંહ અને તુલા રાશિના જાતકો માટે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 5:00 am

રાજકોટ SOGએ 19 કિલો ગાંજા સાથે સગીરાની કરી ધરપકડ:પિતાના અવસાન અને માતાના બીજા લગ્ન બાદ એકલી રહેતી સગીરાને જંગલેશ્વરનું દંપતી ગાંજાનો જથ્થો આપી ગયાનું ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી

રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા વામ્બે આવાસ ક્વાર્ટરમાંથી એક સગીરાને 19.061 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેની પાસેથી કુલ 9.63 લાખનો મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સગીરાના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી લીધા હોવાથી તે એકલી રહેતી હતી અને છેલ્લા 8 મહિનાથી પોતે આવાસના ક્વાર્ટરમાં રહેતી હતી. તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે જંગલેશ્વરના સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી સાથે મળી લાવી હોવાનું સામે આવ્યું છે અને આ ગાંજાનો જથ્થો પતિ પત્નીએ સગીરાને સાચવવા આપ્યો હોવાથી પોલીસ આ કેસમાં ફરાર પતિ પત્નીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર SOG પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૈલાશ કેવલમ મેઈન રોડ પર વામ્બે આવાસ ક્વાર્ટરમાં ગાંજાનો મોટો જથ્થો પડેલો છે જેથી ક્વાર્ટરમાં રેડ કરતા એક સગીરા મળી આવી હતી જેના કબ્જામાં કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સગીરાને ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન આરોપી સગીરાએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે વામ્બે આવાસ ક્વાર્ટરમાં તે પોતે છેલ્લા 8 મહિનાથી એકલી રહે છે અને આ પહેલા તે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હતી તેના પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કરી લીધા છે. તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તેને સાચવવા માટે સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી આપી ગયા હોવાનું જણાવતા પોલીસે આ બન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપી સગીરાના કબ્જામાંથી કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન તથા 5000 રૂપિયા રોકડ મળી કુલ 9.63 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પકડાયેલ આરોપી સગીરા તેમજ ફરાર આરોપી સોયબ અને તેની પત્ની જેબા ત્રણેય સાથે મળી આ ગાંજાનો જથ્થો લઇ આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરના રહેવાસી એવા ફરાર આરોપી સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી વિરુધ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં સોયબ વિરુધ્ધ NDPSના બે, જુગારના બે મળી કુલ 5 ગુના નોંધાઈ ચુક્યા છે જયારે તેની પત્ની જેબા વિરુધ્ધ પણ ગોંડલ સીટી ખાતે NDPSનો એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 12:23 am

ઝારખંડથી ફ્લાઈટમાં IPL જોવા નહીં, ફોન ચોરવા આવ્યા:મેચની ઓડિયન્સને ટાર્ગેટ કરી મોબાઈલ ચોરતી ટોળકીને અમદાવાદ પોલીસે દબોચી, સ્પેશિયલ બનિયાન પહેરીને ચોરી કરતા

અમદાવાદમાં ઝોન-3 DCPના સ્કોડે મોબાઈલ ચોરી કરતી હાઇટેક ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગ અલગ-અલગ રાજ્યોમાં ભીડભાડની જગ્યાએ મોબાઇલ ચોરી કરે છે. અમદાવાદમાં IPL ની મેચમાં સ્પેશિયલ ચોરી કરવા બે ચોર ફલાઇટમાં ઝારખંડથી અમદાવાદ આવ્યા હતા. આરોપીઓ પાસેથી 21 ચોરીના મોબાઇલ પણ મળી આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી બે આરોપીઓની ધરપકડઝોન-3 DCP રૂપલ સોલંકીના LCB સ્કોડના PSI વી.એચ રાઠોડની ટીમે બાતમીના આધાર કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રઘુ મહતો અને વિક્રમ મહતો નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 21 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.આ સાથે આધાર કાર્ડ, એરલાઈન્સની ટિકિટ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આરોપી અગાઉ ફરાર થયો ત્યારથી ટ્રેસ કરતા હતાવધુમાં તેઓએ જણાવ્યું કે, રઘુ છે એ આ અમિત મોહંતીનો બ્રધર છે. રઘુ બધાને ઓપરેટ કરીને અહીંયા લાવેલો હતો. લાસ્ટ ટાઇમ જ્યારે તે ચોરી કરવા આવ્યો ત્યારે તેને પોલીસની આવવાની ખબર પડી જતા તે ફરાર થઈ ગયો હતો. ત્યારથી અમે આ રઘુને ટ્રેસ કરતા હતા અને અત્યારે આ રઘુને 21 ચોરીના ફોન સાથે પકડવામાં સફળતા મળી છે. બેંગ્લોર અને અમદાવાદની IPL મેચમાંથી ફોનની ચોરી કરીઆ લોકો ઓઢવના એક એરિયામાંથી આપણને મળ્યા અને આ બંને આ વખતે ફ્લાઈટમાં આવેલા છે. ઝારખંડથી પર્ટીક્યુલર ચોરી કરવા માટે ફ્લાઈટ કરીને આવેલા. આ લોકોની સાથે હજી એક ટેણિયો છે કે જે હજી ગુમ છે એ હજી આપણને મળ્યો નથી, ઓમકાર કરીને એનું નામ છે. બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ અને અમદાવાદમાં 4 તારીખે આઈપીએલ થઈ એની પહેલા બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એની બહારથી એમણે બે ફોન લીધેલા હતા અને આપણી જે 4 તારીખે આઈપીએલ થઈ ત્યારે પણ એમણે અહીંયાથી બે ફોન લીધેલા છે. ઝારખંડ જઈને કરતા ફોનનો સૌદોએ લોકો જ્યારે આવે છે ત્યારે આ રીતે મોટી માત્રામાં અલગ-અલગ જગ્યાએથી ફોન ચોરી કરી પોતાના ગામ જતા રહે છે પાછા અને ત્યાં જઈને એ લોકો વેચે છે. ઘણીવાર બોમ્બે જઈને પણ વેચે છે, સસ્તા ભાવે ફોન વેચી દે છે. વાત એ છે કે આ લોકો જ્યારે ફોન સ્નેચ કરે છે કે ચોરી કરે છે કોઈપણ જગ્યાએથી પછી એને સિલ્વર ફોઈલની અંદર બંધ કરીને ફોન મૂકી દે છે. એવું માને છે કે સિગ્નલ મળતા નથી એના કારણે એટલે કોઈ ફોન ટ્રાય કરે તો કોઈનો ફોન લાગે નહીં અને લોકેશન ટ્રેસ થાય નહીં. ભીડભાડવાળો એરિયા જ ચોરી માટે પસંદ કરતાફોન ચોરી કર્યા પછી ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતાના ફોનને અનલોક જ રાખતા હોય છે. તો આ લોકોએ મહેસાણાની અંદર બે ફોન ચોર્યા હતા. આ જે 21 ફોન ચોરાયા છે એમાં બેંગ્લોર IPLમાં, અમદાવાદ IPLમાં ચોર્યા છે, આણંદ જિલ્લામાંથી ચોર્યા છે, મહેસાણાથી ચોર્યા છે, અડાલજથી ચોર્યા છે એમ અલગ અલગ અનેક જગ્યાઓએથી એમને ચોર્યા છે, કાલુપુર રેલવે સ્ટેશનથી પણ ચોર્યા છે. મોટા ભાગે ભીડભાડ વાળી જગ્યાઓ જે ખૂબ હોય ત્યાં જ એ લોકો ટ્રાય કરે છે પર્ટીક્યુલરલી IPLના કિસ્સામાં મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર-1વાળો જે એકદમ ભીડવાળો એરિયા હોય છે જ્યાં મેટ્રોમાંથી એકસાથે માણસો ઉતરે અને પછી કોઈને ખબર ના પડે એ રીતે ચોરવામાં સરળતા ના રહે એવા એરિયા આ લોકો ખાસ પસંદ કરે છે. ગીતામંદિર બસ સ્ટેન્ડ છે આવા એરિયા પણ એ લોકો ખાસ પસંદ કરે છે. ચોરેલા મોબાઈલમાંથી પૈસાની પણ ચોરી કરીઆવી ચોરી થઈ જાય અને મોટી માત્રામાં ફોન ભેગા થઈ જાય પછી જગ્યા છોડી દેવાની. જ્યાં સુધી ગુજરાતમાં પણ જ્યાં જ્યાં ફરવું હોય જ્યાં જ્યાંથી ફોન કલેકટ કરવા હોય કરી લીધા પછી ભાગી જવાનું. મહેસાણામાંથી જે બે ફોન ચોરી કર્યા એ ફોન અનલોક હતા એટલે એમણે તરત જ એના ઉપર ગૂગલ પેની એપ ડાઉનલોડ કરી અને કેમકે સીમ અંદર હતું અને ફોન નંબર ચાલુ હતો એટલે SMSથી ઓટીપી પણ તરત મળી જાય એટલે એમણે સાયબર ક્રાઈમનો ઓફેન્સ પણ કરી લીધો અને એમાંથી એમણે પૈસા પણ ટ્રાન્સફર કરીને લઈ લીધા જે-તે વ્યક્તિના એકાઉન્ટમાંથી. આ પ્રકારની આ ગેંગ છે અને અત્યારે જે આપણે આના આધારે જે ઓફેન્સ રજીસ્ટર કર્યા છે એ ટોટલ 12 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે. 8થી 9 ફોન એવા છે કે જે ફોન હજી એકદમ સદંતર અનલોક કન્ડિશનમાં છે, જેમાં એના ઓનરની ખબર હાલ પડી રહી નથી એટલે એના ઓફેન્સ રજીસ્ટર કરવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ જે રજીસ્ટર કર્યા છે એમાં ચાંદખેડા, મહેસાણા, અડાલજ, આણંદ ટાઉન, સેટેલાઈટ પોલીસ સ્ટેશન, બેંગ્લોર સિટી, કર્ણાટક, કાલુપુર રેલવે સ્ટેશન આવા અલગ-અલગ જગ્યાના ફોન આ લોકોએ ચોરી કરેલા છે. ગુજરી બજારની અંદર ચોરી કરેલા ફોન વેચી નાખતાનાની એમાઉન્ટ છે 4-5 હજાર જેવી એમાઉન્ટ છે પણ બંનેના ફોનમાંથી ટ્રાન્સફર કર્યા છે. આ જે ગેંગ છે મહારાજપુર કરીને મહારાજપુર બજાર પંચાયત કલ્યાણી નાયતુલા કરીને છે થાના અંચલ તાલઝારી લાગે, જિલ્લો સાહેબગંજ ઝારખંડનું આ પ્લેસ છે એટલે આ જે નાયતુલા કરીને પ્લેસ છે એની આસપાસના નાના-નાના ગામડાઓના છે આ લોકો અને એમનું એવું કહેવું છે કે, અહીંથી ફોન લઈ જઈ અને ત્યાં આગળ કોઈ એમને ત્યાં જેમ આપણે અહીંયા રવિવારી બજાર ભરાય છે એવી રીતના ત્યાં ગુજરી ભરાય છે ગુજરીની અંદર એ લોકો ફોન સસ્તા ભાવે આપી દે છે. આપણને ટ્રેસ એટલા માટે નથી થતા કારણ કે એ લોકો એની અંદર કોઈ સીમ નથી ચડાવતા જે ફોન રેડી અવેલેબલ વેચાઈ જાય છે કોઈને અને એમાં સીમ ચડે છે તો આપણને કદાચ એ ફોન મળવાની શક્યતા રહે પણ એના પાર્ટ જુદા કરી અને વેચી દે છે એટલા માટે એ ફોન ઈઝીલી ટ્રેસ થતા નથી. ત્રણ લેયરમાં આખી ચોરીની ઘટનાને અંજામ આપતા હતાએ છોકરાઓને સિમ્પલ શીખવાડ્યું છે જેમ કે કોઈ એક બસ આવે છે અને 25-30 જણને એક સાથે ચડવું છે એટલે માણસનું ચડવામાં ધ્યાન હોય. પછી ભીડભાડ વાળો એરિયા જેમ કે આઈપીએલ હોય એ વખતે મેટ્રો સ્ટેશનમાં એક સાથે 100-200 લોકો ઉતરે બધાના હાથમાં બચ્ચાઓ છે કેમકે મેચ જોવા આવ્યા હોય એટલે પોતાના બાળકો કે ઉંમર લાયક માણસોને પણ સાથે લઈને આવ્યા હોય એટલે માણસે પોતાનો ફોન આગળના કિસ્સામાં મૂક્યો હોય પાછળના કિસ્સામાં મૂક્યો હોય ઇઝીલી જ્યાંથી કાઢી શકાય અને વ્યક્તિને ખબર ના પડે એ રીતે લઈ લેવાના. બીજું કે ચોરીને અંજામ આપવામાં પણ ત્રણ લેયર રાખે છે એક ચોરનાર વ્યક્તિ છે જે ફોન ખેંચે છે એક એની નજીક વ્યક્તિ ઉભો રહે છે એને આપી દે છે અને એ પાછો એનાથી દૂર 100 મીટર 200 મીટર દૂર વ્યક્તિ બેઠેલી છે એને આપી દે છે એટલે કદાચ આપણને એવી ખબર પડી જાય કે, આ ટેણિયાએ ફોન લીધો છે પણ તમે તેને સર્ચ કરો તો તમને ફોન મળે નહીં.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 12:05 am

ગુજરાત યુનિ.માં નોન ટીચિંગ સ્ટાફની બીજી પરીક્ષાની તારીખ જાહેર:29-30 એપ્રિલેના લેખિત પરીક્ષા લેવાશે, 54 કે તેથી વધુ માર્ક્સના ઉમેદવારો એક્ઝામ આપી શકશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી હતી, જેમાં 130 જગ્યાઓ માટે હજારો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ ઉમેદવારોની બે તકબક્કામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે હવે બીજી પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આગામી 29 અને 30 એપ્રિલના રોજ પહેલી પરીક્ષામાં 54 કે તેથી વધુ માર્ક્સ આવેલા હોય તેવા ઉમેદવારો બીજી લેખિત પરીક્ષા આપી શકશે. જેના માટે ગુજરાત યુનિવર્સિટીએ વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. 29 અને 30 એપ્રિલના બીજી લેખિત પરીક્ષાગુજરાત યુનિવર્સિટીમાં દ્વારા સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિતના 36 અલગ અલગ વિભાગોમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી ચાલી રહી છે. જેમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની 17 પોસ્ટ અને સિનિયર ક્લાર્કની 80 પોસ્ટ સહિત 130 જગ્યા માટે 6 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થયા બાદ હવે 29 અને 30 એપ્રિલના રોજ બીજી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી પરીક્ષામાં 54 કે તેથી વધુ માર્ક્સ આવ્યા હશે તેવા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જે બાદ બીજી પરીક્ષાની પરિણામ આવ્યા બાદ મેરીટના આધારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. મોટી ઉમરના ઉમેદવારને પસંદગીમાં અગ્રતા અપાશેજો દ્વિતીય અને અંતિમ પરીક્ષામાં એક કરતાં વધુ વિદ્યાર્થીઓના મેળવેલ ગુણ સરખા હશે તો પ્રથમ પરીક્ષામાં જેના ગુણ વધુ હશે તેને પસંદગીમાં અગ્રતા અપાશે. પ્રથમ પરીક્ષામાં પણ સરખા ગુણ હશે તો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષ/ છેલ્લા બે સેમેસ્ટરના જે-તે યુનિવર્સિટીની બાહ્ય પરીક્ષાના ગુણની ટકાવારી જેની વધુ હશે તેને અગ્રતા અપાશે. સ્નાતક કક્ષાના યુનિવર્સિટીની બાહ્ય પરીક્ષાના ગુણ પણ સરખા હશે તો હાયર સેકન્ડરીની પરીક્ષામાં જેના વધુ ગુણ હશે તેને ધ્યાને લઈ અગ્રતા અપાશે. છતાં જો તેમાં સરખા ગુણ હશે તો ઉમેદવારોની જન્મ તારીખને ધ્યાને રાખીને મોટી ઉમરના ઉમેદવારને પસંદગીમાં અગ્રતા અપાશે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 12:05 am

હનીમૂન પર પતિએ એ-સેક્સ્યુઅલ હોવાનો ખુલાસો કર્યો:લગ્ન બાદથી જ પત્નીથી દૂર રહેતો, સાસરિયાઓ 20 લાખ દહેજ માંગતા પરિણીતાની ફરિયાદ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય માર્કેટિંગ મેનેજર યુવતીએ તેના હરિયાણા સ્થિત સાસરિયાં વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ પતિએ પોતે એ-સેક્સ્યુઅલ હોવાનો સ્વીકાર કરી મારપીટ કરતો અને સાસરિયાઓએ વધુ રૂ. 50 લાખની માંગણી સાથે હેરાનગતિ કરતા પીડિતાએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પતિ નોકરીના બહાને પત્નીથી દૂર રહેતોમૂળ રાજસ્થાનની યુવતીના લગ્ન સામાજિક રિવાજ મુજબ થયા હતા, જેમાં તેના પિતાએ રૂ. 25 લાખની લોન લઈને અને રૂ. 30 લાખના દાગીના આપીને ધામધૂમથી પ્રસંગ ઉકેલ્યો હતો. જોકે, લાલચુ સસરાએ વિદાય વખતે જ વધારાના રૂ. 50 લાખની માંગણી કરી દીકરીને સાસરે ન લઈ જવાની ધમકી આપી હતી. પિતાના આજીજી અને નાણાં ચૂકવવાના વાયદા બાદ યુવતી હરિયાણા સાસરે પહોંચી હતી, પરંતુ ત્યાં શરૂઆતથી જ પતિ નોકરીના બહાને તેનાથી અંતર જાળવતો હતો. હનીમૂન પર પતિ એ-સેક્સ્યુઅલ હોવાનો ખુલાસો થયોદંપતી જ્યારે હનીમૂન માટે વિયેતનામ ગયું ત્યારે પતિના અસલી સ્વરૂપનો પર્દાફાશ થયો હતો. પતિએ કબૂલાત કરી હતી કે તે પોતે 'એ-સેક્સ્યુઅલ' (જાતીય ઈચ્છાનો અભાવ ધરાવતો) છે અને માત્ર તેના નાના ભાઈના લગ્ન થઈ શકે તે માટે પરિવારના દબાણમાં આવીને તેણે આ લગ્ન કર્યા હતા. આ સત્ય સામે આવ્યા બાદ પણ સુધરવાને બદલે પતિએ યુવતી સાથે રહેવામાં શરમ અનુભવતો હોવાનું કહી તેની સાથે ઝઘડા કરી મારપીટ શરૂ કરી હતી. યુવતીએ પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવીસાસરિયાઓનો ત્રાસ એટલેથી ન અટકતા, તેમણે પતિની સારવાર કરાવવાના બહાને પિયર પક્ષ પાસે વધુ રૂ. 20 લાખની માંગણી કરી હતી. અંતે માંગણીઓ પૂરી ન થતા સાસરિયાઓએ યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો. છેલ્લા એક વર્ષથી પિયરમાં રહેતી યુવતીએ કંટાળીને સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 12:05 am

ભાજપ-કોંગ્રેસ આજે પાલિકા-પંચાયતના ઉમેદવાર જાહેર કરશે:BJP પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ, 3 દિવસમાં 10 હજાર ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે

પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયાને આઠ દિવસ વિતી ચૂક્યા છે. 11 એપ્રિલ ઉમેદવારી કરવાની અંતિમ તારીખ છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો બાકી રહેતા ઉમેદવાોરના નામની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે. ઉમેદવારોની પસંદગી માટે ભાજપની ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે. ઝોન વાઈઝ તમામ ઉમેદવારોના નામ પર ચર્ચા કરાયા બાદ આજે યાદીને અંતિમરૂપ અપાશે અને ત્યારબાદ જાહેરાત થઈ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ તેની બીજી યાદી આજે જ જાહેર કરી શકે છે. ભાજપના 10,005 ઉમેદવારો જાહેર કરવાના બાકીરાજ્યમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10005 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તમામ બેઠક પર ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારે ભાજપ આજે મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દે તેવી પૂરી શક્યતા છે. કોંગ્રેસે પણ અત્યાર સુધીમાં 7 મહાનગરપાલિકાના 243 ઉમેદવારોના નામની જ જાહેરાત કરી છે. જેથી બાકી રહેતા ઉમેદવારોમાંથી મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત આજે થઈ જશે. વિવાદ થવાની સંભાવના હોય તે બેઠક પર જાહેરાત બાકી રહી શકેભાજપ અને કોંગ્રેસને જે બેઠકો પર નામની જાહેરાત કરાયા બાદ વિવાદ થવાની શક્યતા લાગતી હશે તે બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત અંતિમ ઘડીએ થઈ શકે અથવા નક્કી ઉમેદવારને ટેલિફોનિક જાણ કરાઈ શકે છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ

દિવ્ય ભાસ્કર 9 Apr 2026 12:05 am

VIDEO : ઈઝરાયલી હુમલામાં લેબેનોનમાં તબાહી, 254 લોકોના મોત, અમેરિકાએ હાથ અધ્ધર કર્યા

All Image Source - @TehranTimes79 Israel-Lebanon Conflict : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ હવે ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. એકતરફ ઈઝરાયલ લેબેનોનમાં ધડાધડ હુમલાઓ કરી રહ્યું છે, તો બીજીતરપ અમેરિકા આ મુદ્દે ચુપ બેઠું છે.

ગુજરાત સમાચાર 8 Apr 2026 11:30 pm

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવુ માઇલસ્ટોન:અમદાવાદમાં માત્ર 3.5 કલાકમાં 34 મીટર લાંબા અને 1360 ટન વજનના પોર્ટલ બીમનું સફળ લોન્ચિંગ

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મણિનગર ખાતે અમદાવાદ–વડોદરા રેલવે લાઇન ઉપર આશરે 1360 મેટ્રિક ટન વજનનું સૌથી ભારે પ્રીકાસ્ટ-પ્રેસ્ટ્રેસ્ડ પોર્ટલ બીમ (ગર્ડર) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. મણિનગર રેલવે સ્ટેશન નજીક પાંચ બીમ સ્થાપિત કરવાની યોજના આ પોર્ટલ બીમ એક પ્રીકાસ્ટ કોંક્રિટ રચના છે, જેની લંબાઈ 34 મીટર છે અને તેનું ક્રોસ-સેક્શન 5.5 મીટર x 4.5 મીટર છે. મણિનગર રેલવે સ્ટેશન નજીક આવા કુલ પાંચ બીમ સ્થાપિત કરવાની યોજના છે. આ બીમ્સનું નિર્માણ સાઇટ પર જ પ્રીકાસ્ટ સ્વરૂપમાં કરવામાં આવી રહ્યું છે અને તેને એકીકૃત ભારે એકમો તરીકે સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. 3.5 કલાકમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતીસમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા કડક સુરક્ષા ધોરણો હેઠળ આશરે 3.5 કલાક જેવી નોંધપાત્ર રીતે ઓછી અવધિમાં પૂર્ણ કરવામાં આવી. આ કામગીરી ભારતીય રેલવે સાથે સંકલનમાં સંપૂર્ણ ટ્રાફિક અને પાવર બ્લોક દરમિયાન કરવામાં આવી હતી. અગાઉ આ જ કામ માટે લગભગ 6 મહિના સુધી લાંબા કૉશન ઓર્ડર અને લગભગ 9 કલાકના બ્લોકની યોજના બનાવવામાં આવી હતી.સુક્ષ્મ આયોજન અને ઑપ્ટિમાઇઝેશન દ્વારા આ સમયને ઘટાડીને અમદાવાદ–વડોદરા વિભાગની બંને લાઇનો માટે માત્ર 3.5 કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યું. લિફ્ટિંગ ઓપરેશન 2200 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા ક્રોલર ક્રેન દ્વારા કરવામાં આવ્યું, જેમાં 260 ટનનો સ્ટેન્ડબાય ક્રેન, 80 ટનનો ક્રેન, મેન લિફ્ટર અને એન્કરિંગ ફ્રેમ સાથે લિફ્ટર બીમ સિસ્ટમ જેવા સહાયક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો। આ લિફ્ટિંગ વ્યવસ્થામાં 75 મિમી વ્યાસના પ્રેસ્ટ્રેસ્ડ મેકએલોય બાર, લિફ્ટિંગ બીમ અને હેવી-ડ્યુટી સ્લિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો, જેથી આ વિશાળ ભારને સલામત રીતે સંભાળી શકાય. ભારતીય રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલા સૌથી ભારે લિફ્ટ્સમાંનું એકઆ ઓપરેશન અનેક એન્જિનિયરિંગ પડકારોને દર્શાવે છે, જેમાં આશરે 1360 મેટ્રિક ટનના અલ્ટ્રા-હેવી લિફ્ટનું સંચાલન સામેલ છે. જે ભારતીય રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલા સૌથી ભારે લિફ્ટ્સમાંનું એક છે. સાથે જ સમગ્ર કાર્યને મર્યાદિત સમયગાળામાં પૂર્ણ કરવાની આવશ્યકતા પણ સામેલ છે. તે ઉપરાંત, મર્યાદિત કાર્યક્ષેત્ર, ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) અને અનેક સક્રિય રેલવે લાઇનોને કારણે જટિલતા વધે છે. આવી પરિસ્થિતિમાં આશરે 15 મીટર ઊંચાઈએ ચોક્કસ સ્થાપન માટે ઊંચી સ્તરની સચોટતા જરૂરી બને છે. આ માટે રેલવે અધિકારીઓ સાથે રિયલ-ટાઇમ સંકલન, બેકઅપ લિફ્ટિંગ સિસ્ટમની વ્યવસ્થા, કડક રિગિંગ નિરીક્ષણ, બીમના વિશાળ ખુલ્લા સપાટી વિસ્તારને કારણે પવનની ગતિ પર સતત નજર તેમજ સલામત અને ચોક્કસ સ્થાપન સુનિશ્ચિત કરવા માટે સચોટ સર્વે અને એલાઇનમેન્ટ નિયંત્રણ કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:14 pm

રાંધેજા આશ્રમમાં સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ:વિદ્યાર્થિનીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવા લીમડાનો રસ પીવડાવ્યો

આશ્રમ વિનય મંદિર, રાંધેજા ખાતે પ્રકૃતિ ઈકો ક્લબ દ્વારા વિદ્યાર્થિનીઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે વિદ્યાર્થિનીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતતા વધારવાનો હતો. ચૈત્ર માસની શરૂઆત સાથે બદલાતા વાતાવરણને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થિનીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અંતર્ગત, પ્રકૃતિ ઈકો ક્લબના કન્વીનર નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ લીમડાના મોરનો રસ તૈયાર કરીને વિદ્યાર્થિનીઓને પીવડાવવામાં આવ્યો હતો. આ સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ આચાર્ય વિલસુબેન ટાંક, ઈકો ક્લબના કન્વીનર નિલેશભાઈ, સ્વયંસેવક વિદ્યાર્થીની બહેનો અને સ્ટાફ પરિવારના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:05 pm

GMERS ગાંધીનગરમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી:કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ડીન ડૉ. અંકુર ઝાલાવાડિયા અને વિભાગના વડા ડૉ. જિગ્નેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસની થીમ “Together for Health: Stand with Science” રાખવામાં આવી હતી. આ થીમ આરોગ્ય ક્ષેત્રે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પરસ્પર સહકારના મહત્વ પર ભાર મૂકે છે. કાર્યક્રમના ભાગરૂપે કેમ્પસથી લઈને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન આરોગ્ય સંબંધિત પ્રેરણાદાયક સૂત્રોચ્ચાર કરીને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, થીમ આધારિત માહિતીસભર અને સર્જનાત્મક પોસ્ટર્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટર્સ દ્વારા લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનો, વૈજ્ઞાનિક માહિતીના મહત્વને સમજાવવાનો અને Health for All ના સંદેશને મજબૂત બનાવવાનો હતો.સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:04 pm

ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ:સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગર એસીબી પીઆઇ દ્વારા ફરિયાદી બનીને એસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ચંદ્રસિંહ મોરીએ 1 એપ્રિલ, 2013 થી 31 ડિસેમ્બર, 2025 સુધીમાં કુલ ₹1,22,27,658 ની અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ કૌભાંડમાં અગાઉ ઇડી દ્વારા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના અધિકારીઓના રહેણાક મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરોડા દરમિયાન ચંદ્રસિંહ મોરીના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:55 pm