ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશ:શક્તિનાથથી શ્રવણ ચોકડી માર્ગ 15 મીટર સુધી દબાણમુક્ત કરાયો
ભરૂચ શહેરમાં વધતા ટ્રાફિક અને માર્ગો પરના અવરોધોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા મુખ્ય માર્ગને દબાણમુક્ત કરવાના હેતુથી બંને બાજુના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે કડક કાર્યવાહી કરાઈ હતી. માર્ગની સીમાથી આશરે 15 મીટર સુધીના લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા અને અન્ય પાકા-કાચા બાંધકામો જેસીબી મશીનો દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી આજે સવારે એસ.ડી.એમ. અને મામલતદારના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી. દબાણ હટાવવાની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલા શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરના કંપાઉન્ડના દબાણગ્રસ્ત ભાગને દૂર કરીને કરાઈ. તંત્રની ટીમે પૂર્વ સૂચના મુજબ માપણી કરીને ગેરકાયદેસર ભાગ તોડી પાડ્યો હતો. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારુ રીતે કામગીરી પૂર્ણ કરી. આ કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું.
આજે 12 ફેબ્રુઆરીના મહર્ષિ દયાનંદ સરસ્વતીની 202 મી જન્મ જયંતીને અનુલક્ષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત ભવન દ્વારા અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા કરાયું હતું. આ તકે તેમણે દયાનંદ સરસ્વતીને વેદના પ્રખર જ્ઞાની અને સમાજ સુધારક ગણાવ્યા હતા. તેમણે કુરિવાજો વચ્ચે મહિલાઓનું પુનરુત્થાન કર્યુ. ભારત દેશના મોટાભાગના ક્રાંતિકારીઓ પર તેમનું પ્રભાવ હોવાની વાત કરી તો સાથે જ કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે અને તેમના ગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના ગુરુ દયાનંદ સરસ્વતી હતા. શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ભારત લાવવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી તેમને બિરદાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જીવંત થયેલી બે અને દયાનંદ સરસ્વતી ચેરમાં યોગ્ય રીતે સંશોધન થાય તે માટે નાયબ મુખ્યમંત્રીને વાત કરવાની બાંયધરી આપી. આ તકે બાયો સાયન્સ કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવેલા બોટેનિકલ ગાર્ડન ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતુ કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ 1975 માં આર્ય સમાજની સ્થાપના કરી હતી તેમને કહ્યું કે દેશમાં કુરિવાજોને દૂર કરવા માટે 33 કરોડની જનતા સામે એકલા હાથે લડ્યા હતા. તેમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો અને અન્ય 40 ગ્રંથો તેમના દ્વારા લખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોટા ભાગના ક્રાંતિકારીઓ પર તેમનો પ્રભાવ રહેલો છે. મહાત્મા ગાંધીજીના ગુરુ ગોપાલ કૃષ્ણ મોકલ્યા હતા અને ગોપાલ કૃષ્ણ ગોખલે ના ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા હતા. તે શ્યામજી કૃષ્ણ વર્મા મહર્ષિ દયાનંદ સરસ્વતીના પ્રિય શિષ્ય હતા. આ તકે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું કે, બ્રિટન અને યુરોપની ટેકનોલોજી ભારતમાં લાવવા માટે દયાનંદ સરસ્વતીજીએ શ્યામ શ્રીકૃષ્ણ વર્મા ને પ્રેરિત કર્યા અને તેથી તેઓ અન્ય દેશમાં ગયા હતા. જોકે શ્યામજી કૃષ્ણ વર્મા પર ત્યાં એટલો ત્રાસ ગુજારવામાં આવ્યો કે તેઓ અન્ય દેશમાં ચાલ્યા ગયા. જે બાદ તેમની મૃત્યુ થતા તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના અસ્થિ બેન્કમાં જમા કરવામાં આવ્યા હતા. તેમની ઈચ્છા હતી કે તેમના અસ્થિ ભારતમાં વિસર્જિત કરવામાં આવે. જે બાદ અનેક સરકારો બદલાઈ ગઈ પરંતુ કોઈને તેમના અસ્થિ યાદ ન આવ્યા. જોકે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિ કચ્છના માંડવીમાં લાવ્યા અને તેનું વિસર્જન કરવામાં આવ્યુ. જે બાદ તેમની જન્મ ભૂમિ માંડવીમાં તેમનું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. જેની વિદ્યાર્થીઓએ મુલાકાત લેવી જોઈએ. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ચેર પુનઃપ્રસ્થાપિત થઈ છે. જેમના પર સંશોધનો થાય તે ખૂબ જ જરૂરી છે. આ તકે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા મહર્ષિ દયાનંદ શોધ કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવતા રાજ્યપાલે તેને બિરદાવી હતી અને આ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નો વિભાગ હોવાથી તેમણે પણ આ ચેરના વિકાસ બાબતે અનુરોધ કરવામાં આવશે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' હેઠળ માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. શહેરના છાંયા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓનું ડામરીકરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે.મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ, શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા બિસ્માર રસ્તાઓવાળા વિસ્તારોમાં તાત્કાલિક રીપેરીંગ અને ડામરીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ માર્ગ સુધારણા કામગીરી પૂર્ણ થવાથી રસ્તાઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. તેના પરિણામે વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે, તેમજ સ્થાનિક રહીશોને રોજિંદા અવરજવરમાં મોટી સુવિધા મળશે. આનાથી શહેરના માર્ગોની ગુણવત્તા અને સૌંદર્યમાં પણ વધારો થશે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ વ્યવસ્થિત, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે ભવિષ્યમાં પણ આવી વિકાસાત્મક કામગીરી નિરંતર ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે એક તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સેનિટેશન શાખા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં કચરાના સંગ્રહ અને નિકાલ પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ વર્કશોપમાં કર્મયોગી પોર્ટલ મારફતે પ્રેઝન્ટેશન રજૂ કરીને કર્મચારીઓને કચરાનું વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત સંચાલન કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આધુનિક પદ્ધતિઓ અને સ્વચ્છતા જાળવણીની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકા હેઠળ આવતા વોર્ડ નં. 1 થી 13 સુધીના સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો, વોર્ડના સુપરવાઇઝરો તેમજ વોર્ડમાં ફરજ બજાવતા સેનિટરી ઇન્સ્પેક્ટર એપ્રેન્ટીસ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કર્મચારીઓને કચરાનું ડોર-ટુ-ડોર કલેક્શન, કચરાનું વર્ગીકરણ, પ્રોસેસિંગ તેમજ અંતિમ નિકાલ (ડિસ્પોઝલ) કેવી રીતે કરવો તેની પ્રાયોગિક અને સિદ્ધાંત આધારિત માહિતી પૂરી પાડવામાં આવી હતી. શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં તેમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના અશ્વિનભાઈ વઢિયાએ જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય હેતુ પોરબંદર શહેરમાં કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક, સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અમલમાં મૂકવાનો છે, જેથી શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણમાં સુધારો લાવી શકાય.
પાટડી સેવા સદન ખાતે ભવૈયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા મામલતદાર હરેશ અમીનને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ઓબીસી અનામતના વર્ગીકરણ (OBC Sub-categorization)ની તાત્કાલિક અમલવારીની માંગણી સાથે આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં કુલ 146 સમુદાયો ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ છે. જોકે, આમાંથી માત્ર 20 જેટલા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ અનામતનો મોટાભાગનો લાભ મેળવી રહ્યા છે. આ 20 સમુદાયો ઓબીસીની કુલ સંખ્યાના 20 % પણ નથી, છતાં 80 % અનામત બેઠકોનો લાભ ઉઠાવે છે. બીજી તરફ, નાયક, ભવાયા, તરગાળા ભવૈયા, ઠાકોર, કોળી, દેવીપૂજક, રાવળ, ગોસ્વામી, વંજારા, ધોબી, મોચી જેવા 100થી વધુ ઓબીસી સમુદાયો વિકાસથી વંચિત રહી કોઈ સકારાત્મક લાભ મેળવી શકતા નથી. આ અસમાનતા દૂર કરવા માટે ગુજરાતમાં પણ ઓબીસી અનામત વર્ગીકરણ (OBC Sub-categorization) તાત્કાલિક અમલમાં મૂકવું અનિવાર્ય છે.સુપ્રીમ કોર્ટના 1992ના ઈન્દ્રા સાહનીના ઐતિહાસિક ચુકાદા મુજબ પણ ઓબીસી અનામત વર્ગીકરણ સંપૂર્ણપણે બંધારણીય છે. ભારતના 12 રાજ્યોમાં, જેમાં ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ અને કેરળનો સમાવેશ થાય છે, ત્યાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે. બિહારમાં તો છેલ્લા 50 વર્ષથી આ પ્રણાલી સફળતાપૂર્વક કાર્યરત છે. ગુજરાત રાજ્ય આ નિર્ણય લેવા માટે સંપૂર્ણ સત્તા ધરાવે છે અને આ માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. ઉપરાંત, નવી જાતિ ગણતરી (Caste Census) કરવાની પણ આવશ્યકતા નથી. માત્ર એક સર્વે અને એક સમિતિની રચના દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ છ મહિનાથી ઓછા સમયમાં અમલમાં મૂકી શકાય છે. જો ઓબીસી અનામત વર્ગીકરણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પણ 90 % ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહથી દૂર રહેશે. આવા સંજોગોમાં સમાવિષ્ટ વિકાસ (Inclusive Development) કેવી રીતે શક્ય બનશે તે પ્રશ્ન ઊભો થાય છે. સમાજના નબળા વર્ગો માટે સરકારે જે હક્કો અને અનામતની વ્યવસ્થા કરી છે, તે તમામ સમુદાયોને સમાન રીતે મળી રહે તે માટે અનામત વર્ગીકરણ અનિવાર્ય છે.આથી, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ તાત્કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. ઠાકોર સમાજ અને કોળી સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો,સામાજિક સંસ્થાઓ અને હજારો લોકો દ્વારા ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્રો લખવામાં આવ્યા છે. આથી,ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂકવામાં આવે તેવી માંગણી મંડળ દ્વારા કરવામાં આવી છે.
મોરબીનો સાહિલ માજોઠી, જે રશિયામાં અભ્યાસ કરવા ગયો હતો, તે હાલમાં યુક્રેનના કિવ ખાતેના ડિટેન્શન સેન્ટરમાં છે. તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે થયેલી યુદ્ધ કેદીઓની અદલાબદલીમાં યુક્રેન દ્વારા સાહિલનું નામ યાદીમાં આપવામાં આવ્યું નથી, જેના કારણે તેના હેમખેમ પરત ફરવા અંગે ચિંતા વધી છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી વર્ષ 2024માં રશિયા અભ્યાસ અર્થે ગયો હતો. ત્યાં તે પાર્ટ-ટાઇમ કુરિયર સર્વિસનું કામ કરતો હતો. એક પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે પાર્સલ ક્યાંથી આવ્યું તેની માહિતી રશિયન પોલીસને આપી હોવા છતાં તેની સામે કેસ કરવામાં આવ્યો હતો, જેમાં તેને 7 વર્ષની સજા થઈ હતી અને તે રશિયાની જેલમાં હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, સાહિલને યુદ્ધ લડવા માટે વિવિધ પ્રલોભનો આપવામાં આવ્યા હતા. તેને ટેકનિકલ કામ કરવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલવામાં આવ્યો હતો. જોકે, સાહિલ માજોઠીએ યુક્રેન બોર્ડર પર યુદ્ધ લડવાને બદલે આત્મસમર્પણ કર્યું હતું. ત્યારથી તેને યુક્રેનના કિવ ખાતેના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં, સાહિલના દિલ્હી હાઈકોર્ટના વકીલ દીપા જોસેફે કિવમાં જ્યાં સાહિલને રાખવામાં આવ્યો છે તે ડિટેન્શન સેન્ટરની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ તેનો એક ઇન્ટરવ્યૂ પણ સામે આવ્યો હતો. હાલમાં સાહિલની માતા હસીનાબેન માજોઠી દ્વારા સાહિલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેની માતા, નાની, મામા સહિતના પરિવારજનોની ખબર પૂછે છે અને અંજુ અભ્યાસ કરવા જાય છે કે કેમ તે વિશે પણ પૂછપરછ કરે છે. હસીનાબેને જણાવ્યું કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે 157 યુદ્ધ કેદીની અદલાબદલી થઈ હતી, પરંતુ યુક્રેન તરફથી યુદ્ધ કેદીઓની યાદીમાં સાહિલનું નામ શામેલ કરવામાં આવ્યું ન હતું, જેથી તે હજુ પણ કિવના ડિટેન્શન સેન્ટરમાં જ છે. ઉલેખનીય છે કે, કોઈપણ દેશ વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ હોય ત્યારે યુદ્ધ કેદીઓને પકડવામાં આવ્યા હોય તેને એક્સચેન્જ કરવામાં આવતા હોય છે. એક્સચેન્જ લિસ્ટમાં સાહિલનું નામ રશિયાને આપવામાં આવે તો સાહિલની મુશ્કેલી વધી શકે છે. ત્યારે સવાલએ ઊભો થાય છે કે, યુક્રેન સરકાર સાહિલને પાછો ભારતને સોંપવા માટે તૈયાર છે તો ભારત સરકાર દ્વારા કેમ તેને ભારત લાવવા માટેના પ્રયાસો કેમ કરવામાં આવતા નથી અને યુક્રેન પાસેથી સાહિલનો કબ્જો કેમ લેવામાં આવતો નથી. વર્ષ 2025ના ઓક્ટોમ્બર મહિનાથી સાહિલ યુક્રેનના કિવ ખાતે જે ડિટેન્શન સેન્ટરમાં છે. જો ભારત સરકાર દ્વારા આવી ઢીલી નીતિ રાખવામા આવશે તો સાહિલ કયારે પણ પાછો મોરબી નહીં આવે તેવું તેની માતા હસીનાબેન માજોઠી જણાવ્યું છે.
વેલેન્ટાઇન વીકનો છઠ્ઠો દિવસ એટલે હગ ડે. આ દિવસે પ્રિયજનને મનભરીને હગ કરી યાદગાર બનાવવાનો છે., કારણ કે પ્રેમ શબ્દોથી નહીં પણ જાદુ કી જપ્પી જેવી હુંફથી વધુ વાઇબ્રન્ટ રહે છે. દિવ્ય ભાસ્કરે આજે હગ ડે પર કોલેજ કેમ્પસના યુવાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં એક છોકરાએ તો ગર્લફ્રેન્ડ બનાવવાની ઇચ્છા છતાં મળતું ન હોવાનું બિનધાસ્ત એકરાર કર્યો હતો. ગર્લ્સ અને બોય્ઝે કેવી રીતે મનાવ્યો હગ ડે એ જાણવા તસવીર પર ક્લિક કરો.
જામનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા છતાં મહેનતાણું ન મળવા અને અન્ય 21 માંગણીઓ સંદર્ભે આ રજૂઆત કરવામાં આવી હતી. 400થી વધુ બહેનો આ આવેદનપત્ર આપવા માટે એકત્ર થઈ હતી. આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ એક દિવસ માટે કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમની મુખ્ય માંગણીઓમાં હાઈકોર્ટના આદેશ મુજબ મહેનતાણું ચૂકવવું અને પગાર વધારો લાગુ કરવો તે હતી. બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હેલ્પર બહેનો માટે ₹20,400 અને વર્કર બહેનો માટે ₹24,800 નો પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તે હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી. તેઓ વર્તમાન પગાર કરતાં વધુ કામગીરી કરી રહ્યા હોવા છતાં તેમને ન્યાય મળ્યો નથી. આંગણવાડી બહેનોએ સ્માર્ટફોન દ્વારા કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં તેમને સ્માર્ટફોન પૂરા પાડવામાં ન આવતા હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકાર સમક્ષ તેમની માંગણીઓ સાંભળવા અને પગાર વધારાનો અમલ કરવા વિનંતી કરી હતી.
આજે વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પણ જોડાયા છે, જેના કારણે દેશભરમાં આર્થિક વ્યવહારો પર અસર પડી છે. જામનગરમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ રહ્યું હતું, જેના પરિણામે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાઈ ગયા હતા. આ હડતાળનો મુખ્ય હેતુ કથિત મજૂર વિરોધી કાયદાઓનો વિરોધ કરવાનો છે. નવા નિયમો મુજબ, અગાઉ જે એકમમાં 100 મજૂરો હોય તેમને છટણી માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી, પરંતુ હવે 300 મજૂરો ધરાવતા એકમોને જ આ મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત, સ્ત્રીઓને રાત્રિ પાળીમાં નોકરી, 12 કલાકની નોકરી અને હડતાળ પાડવા માટે 60 દિવસ પહેલા મંજૂરી લેવા જેવા નિયમોનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં આ દેશવ્યાપી હડતાળમાં રાષ્ટ્રીયકૃત બેંકોના સેંકડો કર્મચારીઓ જોડાયા હતા. ગુજરાત બેંક વર્ક્સ યુનિયનના જિલ્લા સંગઠન મંત્રી કુલિન ધોળકિયાએ આ માહિતી આપી હતી. બેંક કર્મચારીઓની હડતાળને કારણે સામાન્ય જનજીવન અને વેપાર-ધંધા પર વ્યાપક અસર જોવા મળી હતી.
ગોધરા શહેરના સિગ્નલ ફળીયા રોડ પર નગરપાલિકા દ્વારા નવી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે. સ્થાનિકોની લાંબા સમયથી ચાલી આવતી રજૂઆતો અને આગામી રમઝાન માસને ધ્યાનમાં રાખીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ રોડ શહેરના મુખ્ય માર્ગો પૈકી એક છે, જ્યાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હતી. જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડતી હતી. અંધારાને કારણે અકસ્માતનો ભય પણ રહેતો હતો. આ સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. લોકોની મુખ્ય માંગ હતી કે માર્ગ પર પૂરતી રોશની થાય જેથી અવરજવર સરળ બને. મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ નજીકમાં હોવાથી રાત્રિના સમયે લોકોની અવરજવર વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ ત્વરિત ધોરણે સ્ટ્રીટ લાઈટો લગાવવાની કામગીરી હાથ ધરી હતી. હવે આ રોડ લાઈટોથી ઝળહળી ઉઠ્યો છે, જેનાથી સ્થાનિકોને રાહત મળી છે અને રાત્રિના સમયે અવરજવર સુરક્ષિત બની છે.
ટંકારા, મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે આર્ય સમાજ દ્વારા બે દિવસીય 'શતાબ્દી મહોત્સવ'નો આજથી પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રથમ દિવસે સવારે યજ્ઞ, ધ્વજવંદન અને ટંકારાના મુખ્ય માર્ગો પરથી વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આર્ય સમાજના અનુયાયીઓ અને બાળકો જોડાયા હતા. શોભાયાત્રામાં વિવિધ ટેબ્લો, અગ્નિહોત્ર રથ અને વીરાંગના દળ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ મહોત્સવમાં સ્વામી શાંતાનંદજી, મુનિ સત્યજીતજી અને આચાર્ય આર્ય નરેશજી જેવા પ્રખર વિદ્વાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મદિવસની ઉજવણી, સત્યાર્થ પ્રકાશનું મહત્વ અને વર્તમાન રાષ્ટ્રીય સમસ્યાઓ પર વ્યાખ્યાનો યોજાશે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. શ્રોતાઓ માટે 'આત્મનિરીક્ષણ કસોટી' જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું છે. મહોત્સવના અંતિમ દિવસે આર્ય સમાજ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો અને પૂર્વ સભ્યોનું સન્માન કરવામાં આવશે. ટંકારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ગુજરાત આર્ય પ્રતિનિધિ સભાના હોદ્દેદારોની નિશ્રામાં યોજાનારા આ કાર્યક્રમમાં મહિલા સંમેલન અને આર્ય યુવા શક્તિના ઉત્થાન અંગે વિશેષ ચર્ચાઓ થશે. શતાબ્દી મહોત્સવનું સમાપન મુનિ સત્યજીતજીના આશીર્વાદ અને શાંતિપાઠ સાથે થશે.
શહેરમાં અને જિલ્લામાં વાહનોમાં લગાડવામાં આવતી અનધિકૃત LED લાઈટોને કારણે વધતા અકસ્માતોને રોકવા માટે ભાવનગર આર.ટી.ઓ. (RTO) વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા દોઢ મહિનામાં 450થી વધુ વાહનચાલકોને રૂપિયા 5 લાખ જેટલો દંડ ફટકારી વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, આગામી સમયમાં પણ આ ઝુંબેશ શરૂ રહેશે. જુદી જુદી કલમો આધારે દંડની જોગવાઈ ભાવનગર RTO ખાતે ફરજ બજાવતા સહાયક મોટર વાહન નિરીક્ષક એમ.ટી. મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2026 થી આજ દિન સુધી અંદાજિત 477 જેટલા કેસ કરવામાં આવ્યા છે, જેની સામે રૂપિયા 5 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની જે મોડિફાઈડ LED લાઈટો લગાવવામાં આવે છે, તે કાયદા વિરુદ્ધ વાહનના મૂળ ફિચર્સમાં ફેરફાર કરવા બદલ કલમ 182 હેઠળ રૂ.5,000નો દંડ, કલમ 190 મુજબ રોડ સેફ્ટીના નિયમોના ભંગ બદલ રૂ.1,000નો દંડ, આમ, નિયમનો ભંગ કરનાર વાહનચાલકે કુલ રૂ.6,000 થી વધુનો દંડ ભોગવવો પડી શકે છે. તંત્રની જનતાને અપીલ એમ.ટી. મકવાણાએ નાગરિકોને નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે, બહારથી ટેસ્ટિંગ ઓથોરિટીની માન્યતા વગરની LED લાઈટો લગાવવાનું ટાળો,આ લાઈટોની તીવ્રતાને કારણે સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જાય છે, જેનાથી ગંભીર અકસ્માત થવાનો ભય રહે છે આ માત્ર નિયમભંગ નથી, પરંતુ જાન-માલના નુકસાન અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.
ભારતીય શિક્ષણ વ્યવસ્થા: ખીંટીએ ટીંગાડેલા પતંગિયા:આજનું બાળક જ નક્કી કરશે કે આવનારી દુનિયા કેવી હશે!
ભારતમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો એ ચર્ચા વારંવાર થતી જોવા મળે છે કે માતૃભાષા ગુજરાતીનું સ્તર લથડી ગયું છે. આજની પેઢીના બાળકો માતૃભાષામાં સારી રીતે વાત નથી કરી શકતા. ગુજરાતી માધ્યમની શાળાઓ લગભગ બધે બંધ થઇ ગઇ છે વગેરે. પણ કોઇ તેના મૂળમાં જઇને આવું કેમ થયું અને થાય છે એની ચર્ચા નથી કરતું કે નથી એના કારણો શોધવાના પ્રયત્નો કરતું. એ વાત પર નથી વિચારતું કે માતૃભાષા બાળકોને રસ પડે એ રીતે ના શીખવવી એ પણ એક કારણ હોઇ શકે? અને એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી કે જ્યાં માતૃભાષાની અવગણના થાય. આ એક ઉદાહરણ ગુજરાતનું અને ગુજરાતી ભાષાના અસ્તિત્વ પર સવાલ ઊભો કરે છે પણ વચ્ચે વચ્ચે ભણતરના દબાણને કારણે આટલા શાળામાં ભણતા બાળકોએ આપઘાત કર્યો કે ભણવાને કારણે મા-બાપે ઠપકો આપ્યો એટલે બાળક ઘર છોડીને ભાગી ગયું વગેરે સમાચાર આવતા જ રહે છે. બાળકોનું શિક્ષણ ભાર બન્યુંનાલંદા, તક્ષશિલા જેવી મહા વિદ્યાપીઠની માતૃભૂમિ એવા ભારતમાં આજે એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી થઇ છે કે બાળકો અને મા-બાપને શિક્ષણ લેવું અને અપવાવવું અનેક રીતે ભારરૂપ લાગે છે. આમ તો કોઇપણ દેશની શિક્ષણ વ્યવસ્થા આદર્શ કદાચ ના હોઇ શકે પણ આજે મારે ભાર વગરના ભણતરની વ્યવસ્થા ધરાવતા અને જેની શિક્ષણ વ્યવસ્થા દુનિયામાં શ્રેષ્ઠ ગણાય છે એવા સ્કેનેદેવીયા દેશ ફિનલેન્ડની શિક્ષણ પ્રણાલીની વાત કરવી છે. ફિનલેન્ડની શિક્ષણ પ્રણાવી દુનિયામાં જાણીતીફિનલેન્ડની શિક્ષણ પ્રણાલી વિશ્વભરમાં તેની ગુણવત્તા, સમાનતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી છે. આ દેશે શિક્ષણને માત્ર પરીક્ષા અને ગુણાંક સુધી મર્યાદિત ન રાખીને, જીવન કૌશલ્ય, સર્જનાત્મકતા અને વિચારશક્તિના વિકાસ પર વિશેષ ભાર મૂક્યો છે. ફિનલેન્ડમાં માનવામાં આવે છે કે સારો નાગરિક બનાવવો એ શિક્ષણનું મુખ્ય લક્ષ્ય છે. શિક્ષણ સંપૂર્ણ મફતફિનલેન્ડમાં શિક્ષણ સંપૂર્ણપણે મફત છે. પ્રાથમિક શિક્ષણથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી વિદ્યાર્થીઓને ફી ચૂકવવી પડતી નથી એટલું જ નહીં, વિદ્યાર્થીઓને મફત ભોજન, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ પણ આપવામાં આવે છે. આથી દરેક બાળકને તેની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, સમાન તક મળે છે. સમાનતા ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થાનો આધારસ્તંભ છે. અહીં બાળકો શાળામાં સાત વર્ષની ઉંમરથી પ્રવેશ કરે છે. શરૂઆતના વર્ષોમાં અભ્યાસ કરતા વધુ રમતો, પ્રવૃત્તિઓ અને સામાજિક કુશળતા પર ધ્યાન આપવામાં આવે છે. પ્રાથમિક સ્તરે હોમવર્ક બહુ ઓછું હોય છે અને લાંબા શાળાકીય કલાકો પણ નથી. તેનો હેતુ એ છે કે બાળકો પર દબાણ ન પડે અને તેઓ શીખવાની પ્રક્રિયાને આનંદથી સ્વીકારે. સરકાર હસ્તક્ષેપ નથી હોતોફિનલેન્ડમાં શિક્ષકોને ખૂબ માન અને મહત્વ આપવામાં આવે છે. શિક્ષક બનવા માટે ઉચ્ચ લાયકાત જરૂરી છે અને શિક્ષણ ક્ષેત્રમાં માત્ર શ્રેષ્ઠ ઉમેદવારોને જ પસંદ કરવામાં આવે છે. શિક્ષકોને પોતાની કામ કરવાની પદ્ધતિ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. સરકાર કે સંસ્થાઓ દ્વારા વારંવાર તપાસ અથવા દબાણ નથી હોતું. આ વિશ્વાસના કારણે શિક્ષકો વધુ જવાબદારી અને સમર્પણ સાથે કાર્ય કરે છે. અહીં પરીક્ષાની સંખ્યા બહુ ઓછી છે. રાષ્ટ્રીય સ્તરે કોઇ કઠોર સ્પર્ધાત્મક પરીક્ષા નથી. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સતત અવલોકન, પ્રોજેક્ટ વર્ક અને શિક્ષકના અનુભવના આધારે થાય છે. આથી વિદ્યાર્થીઓમાં તણાવ ઓછો રહે છે અને તેઓ સાચી સમજ સાથે વિષય શીખે છે. માત્ર રટણ પર આધાર રાખતા નથી. જીવન સાથે જોડાયેલી શિક્ષણ પ્રણાલીફિનલેન્ડની શિક્ષણ પ્રણાલી જીવન સાથે જોડાયેલી છે. શાળામાં વિદ્યાર્થીઓને ટીમ વર્ક, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, સમય વ્યવસ્થાપન અને સ્વતંત્ર વિચાર કરવાની ટેવ પાડવામાં આવે છે. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેને શીખવાનું એકમાત્ર સાધન બનાવવામાં આવતું નથી. ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થા ગુણવત્તા, સમાનતા અને માનવીય મૂલ્યો પર આધારિત છે. આ પ્રણાલી વિદ્યાર્થીઓને માત્ર નોકરી માટે નહીં પરંતુ જવાબદાર, સંવેદનશીલ અને આત્મવિશ્વાસી નાગરિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કારણે જ ફિનલેન્ડ આજે વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલીમાં સ્થાન ધરાવે છે. આમ તો કોઇ પણ બે દેશ કે તેની વ્યવસ્થાની સરખામણી ના કરવી જોઇએ, કારણ કે એ ત્યાંની સંસ્કૃતિ, લોકો, રીતભાત અને ભાષા આધારિત હોય છે પણ આજે વૈશ્વિકરણના જમાનામાં પૃથ્વી ચણી બોર જેવડી નાની બની રહી હોય, વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરી માટે એક દેશથી લઇને બીજા દેશની સફર ખેડી રહ્યા હોય ત્યારે શિક્ષણ પ્રણાલી જેવી વ્યવસ્થા દરેકને અસર કરે છે. મેડમ મોન્ટેસરી પરથી પ્રેરણા લઇ આપણા બાળકોના મૂછાળી મા એવા ગિજુભાઇ બધેકાએ દક્ષિણા મૂર્તિ સ્થાપી એક ઉત્તમ ઉદાહરણ સ્થાપેલું જ ને. અને આ તો બાળકોની જિંદગી અને એમના ઘડતરનો સવાલ છે ત્યારે શિક્ષણ વ્યવસ્થા જેવા અગત્યના મુદ્દે વિચારવું અને શીખવું જ રહ્યું. બાકી ભાર વગરના ભણતરના પ્રણેતા એવા મેડમ મોન્ટેસરી એ કહેલું એમ શાળાઓના વર્ગમાં બેઠેલા બાળકો, ખીંટી એ ટીંગાડેલા પતંગિયા જેવા લાગે છે. બાળકોને મુક્ત આકાશમાં ઉડવા માટે તૈયાર કરવા એ કોઇ પણ શિક્ષણ વ્યવસ્થા અને સમાજની ફરજ હોઇ શકે. આખરે આજનું બાળક જ નક્કી કરશે કે આવનારી દુનિયા કેવી હશે!
ઇસ્કોન મંદિર પાસે આવેલી ગુજરાત સમાચારની ઓફિસ પાછળ આવેલા વ્હીલ ચેરના ગોડાઉનમાં આગ લાગી છે. જેને પગલે ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ, ‘25મા ભારત રંગ મહોત્સવ’નું અમદાવાદ પ્રકરણ 14 February, 2026 થી શરૂ થઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આ મહોત્સવ 16 February સુધી ચાલશે. આ ત્રણ દિવસીય કલા ઉત્સવ યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ‘ઉપાસના ઓડિટોરિયમ’ ખાતે યોજાશે, જ્યાં પ્રેક્ષકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ વર્ષના મહોત્સવની થીમ ‘સંવાદ સંસ્કૃતિયોં કા’ નક્કી કરવામાં આવી છે. ખાસ સમર્પણ અને નાટકોનું આકર્ષણ આ વર્ષનું અમદાવાદ પ્રકરણ ગુજરાતી રંગભૂમિમાં અમૂલ્ય પ્રદાન કરનાર રાજુ બારોટને સમર્પિત કરવામાં આવ્યું છે. મહોત્સવની શરૂઆત 14 February ના રોજ મહાદેવ સિંહ લખાવત નિર્દેશિત મ્યુઝિકલ ટેલ ‘Desert Bloom’ થી થશે. બીજા દિવસે ગાંધર્વ દિવાન દ્વારા દિગ્દર્શિત હિન્દી નાટક ‘Avalanche’ રજૂ કરાશે. મહોત્સવના અંતિમ દિવસે 16 February ના રોજ ભવભૂતિના ઉત્તરારામચરિત પર આધારિત અને ડૉ. ચવ્હાણ પ્રમોદ દિગ્દર્શિત ગુજરાતી નાટક ‘સીતા નો વેશ’ ભજવવામાં આવશે. કલાપ્રેમીઓ માટે NSD નો સંદેશ NSD ના નિર્દેશક ચિત્તરંજન ત્રિપાઠીએ જણાવ્યું કે અમદાવાદ કલા અને સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર છે. તેમણે આશા વ્યક્ત કરી કે અમદાવાદી પ્રેક્ષકો આ વૈશ્વિક નાટકોને ઉષ્માભર્યો પ્રતિસાદ આપશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં આ મહોત્સવ 27 January થી 20 February, 2026 સુધી ચાલી રહ્યો છે, જેમાં 9 દેશોના કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન 228 ભાષાઓમાં 277 થી વધુ નાટકો રજૂ થવાના છે. થિયેટરને ડિજિટલ યુગમાં લોકપ્રિય બનાવવા NSD એ ‘રંગ આકાશ’ ઇન્ટરનેટ રેડિયો અને ‘નાટ્યમ’ OTT પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યા છે.
માળીયામાં બાઈક સવાર યુવાનનું મોત:ભાઈને તેડવા જતાં ટ્રકે અડફેટે લેતા બે સંતાનોએ પિતા ગુમાવ્યા
માળીયા (મી) તાલુકામાં એક માર્ગ અકસ્માતમાં 23 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. સંજયભાઈ સિંદૂરસિંગ માવી નામના આ યુવાન પોતાના ભાઈને તેડવા જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે તેમની બાઈકને હડફેટે લીધી હતી. આ ઘટનામાં બે સંતાનોએ પોતાના પિતા ગુમાવ્યા છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયાના કુંભારીયા ગામે ખેતીકામ કરતા સંજયભાઈ, મોરબી તાલુકાના લૂંટાવદર ગામે રહેતા તેમના નાના ભાઈ જશુને તેડવા માટે બાઈક પર જઈ રહ્યા હતા. રસ્તામાં પેટ્રોલ પંપ નજીક ચોકડી પાસે એક ટ્રક ચાલકે તેમની બાઈકને હડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સંજયભાઈને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત ન નીવડતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે સંજયભાઈના બે નાના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
જલારામ બાપાની પુણ્યતિથિ:હિંમતનગરમાં 145મી પુણ્યતિથિએ સમૂહ આરતીનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ડેમાઈ રોડ પર આવેલા જલારામ બાપાના મંદિરે તેમની 145મી પુણ્યતિથિ નિમિત્તે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આયોજન મંદિર દ્વારા 12 ફેબ્રુઆરી, ગુરુવારે કરવામાં આવ્યું હતું. જલારામ બાપાની 145મી પુણ્યતિથિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. આરતીમાં 30થી વધુ પરિવારોએ ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી આરતીનો લાભ લીધો હતો. આરતી બાદ મંદિર પરિસરમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડોદરાની સંસ્કારી નગરીમાં મહાશિવરાત્રિ પર્વના ઉપલક્ષમાં 'સ્વદેશી હાટ'નો મંગલ પ્રારંભ થયો છે. આદિજાતિ વિકાસ, ખાદી અને કુટિર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલના વરદ્દહસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર છેવાડાના કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા કટિબદ્ધ છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ અંતરિયાળ ગામોની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કારીગરોને સીધું માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. કારીગરોને આર્થિક સદ્ધરતાનો મક્કમ પ્રયાસ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વડોદરાના કલાપ્રેમી નાગરિકોને કારીગરો પાસેથી સીધી ખરીદી કરવા અપીલ કરી હતી, જેથી મધ્યસ્થીઓ વિના કલાકારોને સીધો નફો મળી શકે. આ પહેલ 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવા તરફનું એક મક્કમ પગલું છે. કાર્યક્રમ પૂર્વે મંત્રીઓએ કલેક્ટર કચેરી ખાતે વડોદરા અર્બન હાટના બાંધકામની પ્રગતિ અંગે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 200 કારીગરો અને વૈવિધ્યસભર કલાનું સંગમ આ હાટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 200 જેટલા વ્યક્તિગત કારીગરો, હસ્તકલા મંડળીઓ અને સ્વસહાય જૂથો ભાગ લઈ રહ્યા છે. જેમાં કુટિર ઉદ્યોગના 100, હાથશાળ નિગમના 50 અને હસ્તકલા સેતુ યોજનાના 50 કારીગરોનો સમાવેશ થાય છે. મુલાકાતીઓ માટે પટોળા, અજરખ બ્લોક પ્રિન્ટ, ભરતકામ, વાંસકામ, માટીકામ, મોતીકામ અને ઇમીટેશન જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લાઇવ નિદર્શન અને મુલાકાતનો સમય કલાપ્રેમી જનતા માટે આ મેળામાં 06 જેટલા જીવંત નિદર્શન (Live Demonstration) પણ રાખવામાં આવ્યા છે, જ્યાં લોકો કલાને રૂબરૂ બનતી નિહાળી શકશે. આ પ્રદર્શન 20 February સુધી દરરોજ સવારે 11:00 થી રાત્રે 09:00 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, કેયુરભાઇ રોકડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું છે. સમગ્ર દેશ-વિદેશમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી અત્યારે 'શિવમય' બની ગઈ છે. ગિરનારના પથ્થરે પથ્થરમાં જાણે મહાદેવનો વાસ હોય તેવો અનુભવ ભાવિકો કરી રહ્યા છે. ભવનાથમાં ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર 1008 શ્રી હરિહરાનંદ ભારતી બાપુએ મેળાના બીજા દિવસના માહોલ અંગે જણાવ્યું હતું કે, આજે મેળાનો બીજો દિવસ છે અને ભવનાથ તળેટીમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આમ તો આખું વર્ષ આ ક્ષેત્ર શિવમય હોય છે, પરંતુ શિવરાત્રીના દિવસોમાં અહીંનો આનંદ અલૌકિક હોય છે. ગઈકાલે ભવનાથ મહાદેવના મંદિરે પરંપરાગત ધ્વજારોહણ થયા બાદ અલગ-અલગ આશ્રમોમાં પણ ધર્મધ્વજા લહેરાવવામાં આવી હતી. જેની સાથે જ નાગા સાધુઓએ ધૂણી ધખાવી 'અલખ નિરંજન' અને 'મહાદેવ હર'ના નાદ સાથે મેળાને વિધિવત વેગ આપ્યો છે. અન્નક્ષેત્રોમાં સેવાનો યજ્ઞ ભવનાથ ક્ષેત્રની વિશેષતા તેના અન્નક્ષેત્રો છે. હરિહરાનંદ ભારતી બાપુએ વધુમાં ઉમેર્યું કે, અહીં વર્ષના ૩૬૫ દિવસ અન્નક્ષેત્રો ધમધમતા હોય છે, જ્યાં લાખો ભાવિકો પ્રસાદ લે છે. પરંતુ શિવરાત્રીના પાંચ દિવસો દરમિયાન અહીં 'ભક્તિ, ભોજન અને ભજન'નો અદભૂત ત્રિવેણી સંગમ રચાય છે. દરેક નાના-મોટા ઉતારાઓમાં ભાવિકોને ઉતારો અને ભોજન પ્રસાદી યથાશક્તિ પૂરી પાડવામાં આવે છે. આ મેળો માત્ર મનોરંજન નથી, પણ સાચા અર્થમાં શિવ અને જીવના મિલનનું પર્વ છે. ગિરનારની સિદ્ધભૂમિ અને અલૌકિક હાજરી એવું માનવામાં આવે છે કે ગિરનાર ક્ષેત્રમાં નવનાથ, સિદ્ધ ચોરાસી, ૬૪ જોગણીઓ અને ૫૨ વીરનો અદ્રશ્ય વાસ છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, શિવરાત્રીના પાવન દિવસોમાં સ્વયં મહાદેવ કોઈને કોઈ સ્વરૂપે અહીં વિચરણ કરે છે. જેમ નરસિંહ મહેતાની અતૂટ શ્રદ્ધાને વશ થઈને ભગવાન કૃષ્ણે તેમને દર્શન આપ્યા હતા, તેમ ભવનાથમાં શ્રદ્ધા લઈને આવતા પ્રત્યેક ભક્તને મહાદેવ કોઈને કોઈ રૂપે આશીર્વાદ આપે જ છે. નાગા સાધુઓના કરતબો અને 'રવેડી'નું આકર્ષણ મેળાનું મુખ્ય આકર્ષણ દિગંબર નાગા સાધુઓ છે. પાંચ દિવસ સુધી ધૂણી ધખાવીને આરાધના કર્યા બાદ, શિવરાત્રીની મધ્યરાત્રિએ નિકળતી 'રવેડી'માં આ સાધુઓ શસ્ત્ર કળાના કરતબો બતાવે છે. તલવારબાજી, પટ્ટાબાજી અને લિંગના અલગ-અલગ દાવપેચ જોઈને શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ રવેડીમાં વિવિધ અખાડાના મહામંડલેશ્વરો, સાધુ-સંતો અને ઋષિમુનિઓ શણગારેલા ગજરાજો અને ધર્મધ્વજા સાથે જોડાય છે. મૃગીકુંડમાં શાહી સ્નાનનું મહાત્મ્ય રવેડીનો માર્ગ ભવનાથ મંદિર પાસે આવેલા પૌરાણિક 'મૃગીકુંડ' પાસે પૂર્ણ થાય છે. અહીં સાધુ-સંતો શાહી સ્નાન કરે છે. લોકવાયકા છે કે મૃગીકુંડમાં સ્નાન કરવા પડતા સાધુઓમાંથી અમુક સાધુઓ બહાર નથી આવતા, એટલે કે સ્વયં મહાદેવ અદ્રશ્ય રૂપે તેમની સાથે સ્નાન કરે છે. આ કુંડનું મહત્વ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ જેટલું જ પવિત્ર મનાય છે. આખું વર્ષ બંધ રહેતો મૃગીકુંડ માત્ર શિવરાત્રીની રાત્રે જ શાહી સ્નાન માટે ખોલવામાં આવે છે. ભવનાથમાં અત્યારે ભક્તિનો સાગર ઘૂઘવી રહ્યો છે. ભલે તે આકરો તડકો હોય કે રાતની ઠંડી, ભોળાનાથના ભક્તોમાં ઉત્સાહ જરાય ઓછો જોવા મળતો નથી. સાધુઓની ધૂણીનો ધુમાડો અને ગિરનારની ગુફાઓમાંથી આવતા શંખનાદથી સમગ્ર જૂનાગઢ અત્યારે કૈલાસધામ દેખાય રહ્યું છે…
ગુજરાતના આશરે 75,000 NCC કેડેટ્સ વચ્ચે યોજાયેલી અત્યંત કઠિન સ્પર્ધામાં ગવર્નમેન્ટ પોલિટેકનિક અમદાવાદએ મેદાન માર્યું છે. રાજ્યના કુલ 110 કેડેટ્સમાંથી આ સંસ્થાના 4 કેડેટ્સની પ્રતિષ્ઠિત Republic Day Camp (RDC) 2026 માટે પસંદગી કરવામાં આવી હતી. આ કેડેટ્સે નવી દિલ્હી ખાતે ગુજરાતનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું છે, જે સંસ્થાના ઇતિહાસમાં એક સુવર્ણ સિદ્ધિ ગણાય છે. કમિશનર દ્વારા પ્રશંસાપત્ર એનાયત આ નોંધપાત્ર સફળતા બદલ ટેકનિકલ શિક્ષણના કમિશનર B. H. તલાટી દ્વારા સંસ્થાના આચાર્ય,લેફ્ટનન્ટ ડો. દુહિતા લખતરીયા, લેફ્ટનન્ટ ડો. પંકજ કુમાર શર્મા અને ચારેય કેડેટ્સનું બહુમાન કરવામાં આવ્યું હતું. કમિશનરે કેડેટ્સને Commendation Certificate આપી તેમની શિસ્ત અને સમર્પણની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ સન્માન સમારોહથી સંસ્થાની મજબૂત NCC પરંપરા વધુ તેજસ્વી બની છે.
અમદાવાદ SOGએ બેંગકોકથી અમદાવાદ સુધી ગાંજાની સિન્ડીકેટ ચલાવતી ચેનલનો પર્દાફાશ કર્યો છે. SOGએ 7.97 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ભાઈ-બહેનની ધરપકડ કરી હતી. યુવતીએ ડ્રગ્સ માફીયાના કહેવાથી ગાંજાની તસ્કરી માટે ચાર રાજસ્થાનના યુવકોની ફૌજ તૈયાર કરી હતી અને જાન્યુઆરીમાં તેમને ગાંજો લેવા માટે પણ મોકલ્યા હતા. ગાંજાની ખેપમાં મુંબઈ એરપોર્ટ પરથી એક યુવક ઝડપાયો હતો જ્યારે ત્રણ લોકો કરોડો રુપિયાનો માલ લઈને બહાર નીકળી ગયા હતા. વેગેનાર કાર આવતા જ SOGએ કોર્ડન કરી લીધીSOGના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે જીયા ઉર્ફે જેશીકા પ્રજાપતિ અને ચેતન પ્રજાપતિએ મીલન અને અમરાન જોશી નામના શખ્સો પાસેથી થાઈલેન્ડથી ગાંજો મંગાવ્યો છે. બંને શખ્સોએ ગાંજો લઈને જીયા અને ચેતનને આપ્યો હતો અને તે વેગેનાર કારમાં ચિલોડાથી એરપોર્ટ તરફ જવાના છે. બાતમીના આધારે SOGની ટીમ વોચમાં હતી ત્યારે એક વેગેનાર કાર આવી હતી. SOGએ તેને કોર્ડન કરી લીધી હતી અને યુવક અને યુવતીને બહાર ઉતરવા માટે કહ્યું હતું. જીયા પ્રજાપતિ ગાંજાની હેરફેરની માસ્ટરમાઈન્ડકાર ચલાવનાર યુવકનું નામ ચેતન સુભાષચંદ્ર પ્રજાપતિ છે અને તે મુળ રાજસ્થાનના રાજસમદ જીલ્લા નાથદ્વારા તાલુકાના ગુંજોલ ગામનો રહેવાસી છે. ચેતનની બાજુમાં જીયા ઉર્ફે જેશીકા કાલુરામ પ્રજાપતિ બેઠી હતી, જે ગાંજાની હેરફેરની માસ્ટરમાઈન્ડ છે. જીયા નોબલનગર કોતરપુર વોટર વર્કસની પાસે આવેલા ઘનશ્યામનગરમાં રહે છે. કારમાંથી 3 થેલા મળ્યાSOGએ જીયા અને ચેતનની અંગજડતી કરી હતી, પરંતુ તેમની પાસે માત્ર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ બાદ SOGએ કારની ઝડતી કરતા તેમાથી ત્રણ થેલા મળી આવ્યા હતા જેને વારાફરથી ખોલીને જોતા કેટલાક પાર્સલ હતા. પાર્સલમાં ભુખરા રંગની વનસ્પતિ હતી. લગભગ 8 કરોડનો ગાંજો મળ્યોSOGએ બંનેને વનસ્પતિ મામલે પૂછતા તેમણે હાઈબ્રીડ ગાંજો હોવાની કબૂલાત કરી હતી. બંનેની અટકાયત કરીને તેમને SOGની વડી કચેરીએ લઈને આવ્યા હતા.SOGએ તરત જ એફએસએલના અધિકારીઓને જાણ કરી દીધી હતી. FSLએ આવીને વનસ્પતિનું પરિક્ષણ કર્યુ હતું અને બાદમાં તે હાઈબ્રીડ ગાંજો હોવાનું સામે આવ્યુ હતું. SOGએ વજનકાંટાથી વનસ્પતિનું વજન કરતા તે 22.780 કિલો હોવાનું સામે આવ્યુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ગાંજાની કિંમત 7.97 કરોડ રૂપિયા થાય છે. FSLના રીપોર્ટ બાદ SOGએ બંનેની પૂછપરછ શરુ કરી હતી. અરમાને જીયાને બેંગકોકથી હાઈબ્રીડ ગાંજાની તસ્કરી કરવાની ઓફર આપી હતીજીયા પ્રજાપતિ નવેમ્બર 2025માં બેંગકોક ગઈ હતી જ્યા તેની મુલાકાત મિલન વઘાસિયા (રહે, સુરત) સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થયા બાદ જીયા બેંગકોકથી અમદાવાદ આવવા માટે નીકળી હતી ત્યારે મિલને તેની મુલાકાત અરમાન જોશી સાથે કરાવી હતી. અમરાન જોશી અમદાવાદનો જ રહેવાસી છે. અરમાને જીયાને બેંગકોકથી હાઈબ્રીડ ગાંજાની તસ્કરી કરવાની ઓફર આપી હતી, પરંતુ જીયાએ ઓફરને ફગાવી દીધી હતી. લાલચમાં આવીને જીયાએ કૌટુંબીક ભાઈને ડ્રગ્સની હેરફેરમાં સામેલ કર્યોઅરમાને જીયાને કહ્યુ હતું કે તું મને એવા માણસો આપ કે બેંગકોકથી ગાંજો લઈને આવી શકે. અમરાને જીયાને માણસો ગોઠવી આપવાના બદલામાં કમીશન આપવાની પણ વાત કરી હતી. જીયા અરમાનની લાલચમાં આવી ગઈ હતી અને તેણે પોતાના કૌટુંબીક ભાઈ ચેતન પ્રજાપતિને ડ્રગ્સની હેરફેર માટે સામેલ કર્યો હતો. નાથદ્વારામાં રહેતા 4 લોકોને બેંગકોક જવા તૈયાર કર્યાજીયા અને ચેતને મળીને રાજસ્થાનના નાથદ્વારામાં રહેતા ગોપાલ સોલંકી, ઉમેશ સોલંકી તથા પ્રશાંત કલાલ અને ભુવનેશ બુનકરને બેંગકોક જવા માટે તૈયાર કર્યા હતા. ચારેય જણા ગાંજો લઈને આવે તો જીયાને કમીશન મળશે તેવી વાત અરમાને કરી હતી. એક શખ્સ મુંબઈ એરપોર્ટ પર ઝડપાયોજાન્યુઆરી 2026માં ચારેયને બેંગકોક મોકલ્યા હતા જ્યારે મુંબઈ એરપોર્ટ ખાતે ભુવનેશ ગાંજા સાથે ઝડપાયો હતો. આ સિવાય બીજા ત્રણેય મિત્રો ગાંજો એરપોર્ટની બહાર લાવવામાં સફળ થઈ ગયા હતા. ભુવનેશ જેલમાં હોવાથી જીયા અને ચેતને ગાંજાનો જથ્થો તેમની પાસે રાખ્યો હતો. બંને આ ગાંજો વેચવા માટે નીકળ્યા હતા ત્યારે SOGએ બાતમીના આધારે તેમની ધરપકડ કરી છે. SOGએ 7.97 કરોડના જથ્થા સાથે ભાઈ-બહેનની ધરપકડ કરી છે જ્યારે બીજા લોકોની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી છે. SOGએ ચેતન, જીયા, મિલ, અરમાન, ગોપાલ, ઉમેશ, પ્રશાંત અને ભુવનેશ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કર્યો છે.
Kiren Rijiju Release Video : સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલા હોબાળાનો એક વીડિયો જાહેર કરીને રાજકીય રીતે વધારે એક મોરચો ખોલ્યો છે. રિજિજુએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના સાંસદોએ સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે વીડિયો ક્લિપ બનાવી અને ગરીમા તથા મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, આ ઘટના 4 ફેબ્રુઆરીની હોવાનો અંદાજ છે. રિજિજુના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના 20 થી 25 સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા યુવાનોને રાજકીય તકો પૂરી પાડવા માટે 'રાષ્ટ્રીય પ્રતિભા શોધ' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષની વિચારધારાને મક્કમતાથી રજૂ કરી શકે તેવા પ્રતિભાશાળી વક્તાઓને શોધીને તેમને સંગઠનમાં વિવિધ સ્તરે હોદ્દા આપવાનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વિશેષ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું હતું. 'રાષ્ટ્રીય પ્રતિભા શોધ' નામનો આ કાર્યક્રમ એવા યુવાનોને મંચ પૂરો પાડશે, જેઓ કોંગ્રેસની વિચારધારા અને લોકહિતના મુદ્દાઓને નિર્ભયતા તથા પ્રખરતાથી જનતા સમક્ષ રજૂ કરી શકે. આ કાર્યક્રમ હેઠળ પ્રતિભાશાળી વક્તાઓની પસંદગી માટે એક ચોક્કસ પ્રક્રિયા અપનાવવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન એપ દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજીઓ મળ્યા બાદ ઉમેદવારોની ક્ષમતા અને પ્રતિભાનું મૂલ્યાંકન કરવામાં આવશે. પસંદગી પામેલા યુવાનોને તેમની યોગ્યતા અનુસાર રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે સંગઠનમાં વિવિધ હોદ્દાઓ અને જવાબદારીઓ સોંપવામાં આવશે. આ પહેલ રાજનીતિમાં રસ ધરાવતા અને વક્તૃત્વ કળામાં નિપુણ યુવાનોને આગળ વધવા માટે નવી તકો પૂરી પાડશે.
લૂંટ કેસમાં 7 વર્ષની સજા પામેલો ફરાર આરોપી ઝડપાયો:જામનગર LCBએ 46 ગુના નોંધાયેલા ગુનેગારને પકડ્યો
જામનગરમાં લૂંટના એક કેસમાં સાત વર્ષની સજા પામેલા અને લાંબા સમયથી ફરાર આરોપી હનિક ઉર્ફે હનફો ચોર હુસેનભાઈ સના વાઘેરને એલસીબી પોલીસે છરી સાથે ઝડપી પાડ્યો છે. આરોપી સામે જામનગર સહિત ગાંધીધામ, કંડલા અને રાજકોટમાં કુલ 46 ગુના નોંધાયેલા છે. આ કેસ વર્ષ 2018નો છે, જેમાં શહેરની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા ગુણેશ્વરસિંધ ઇબોબીસિંગ લાયશ્રમના મકાનમાં અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી ફરિયાદી અને તેમના પરિવારજનોને ઇજા પહોંચાડી રોકડ અને ચીજવસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં કોર્ટે આરોપી હનિક ઉર્ફે હનફાને સાત વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો, પરંતુ તે ફરાર હતો. જામનગર એલસીબીના મયુદીનભાઈ સૈયદ, અરણજભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગરને બાતમી મળી હતી કે, સજા પામેલો આ ગુનેગાર બેડેશ્વર ઓવરબ્રિજ નીચે હાજર છે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી હનફાને ઝડપી લીધો હતો. તેની પાસેથી એક છરી પણ મળી આવતા, મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગનો વધુ એક ગુનો તેની સામે નોંધવામાં આવ્યો છે. આરોપી હનિક ઉર્ફે હનફા સામે જામનગર શહેર, તાલુકા, માળીયા-મિયાણા, રાજકોટ, ગાંધીધામ અને કંડલા પોલીસ મથકોમાં મળીને કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે, જે તેની લાંબી ગુનાહિત કારકિર્દી દર્શાવે છે.
પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે 300થી વધુ હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં યાત્રિકોને મેનિન્જાઈટિસ (મગજનો તાવ) અને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. આયોજન હજ ખીદમત કમિટી અને આરોગ્ય વિભાગના સહયોગથી કરાયું હતું. સાઉદી અરેબિયાના મક્કા અને મદીના ખાતેની વાર્ષિક હજ યાત્રા પહેલાં યાત્રિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ કેમ્પ મહત્વનો હતો. પાટણ સિવિલ હોસ્પિટલ સ્ટાફ, તાલુકા આરોગ્ય કચેરી અને હજ ખીદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે બુધવારે આ ખાસ રસીકરણ કેમ્પ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પ્રવાસના નિયમો મુજબ હજયાત્રીઓ માટે મગજના તાવ અને પોલિયોની રસી લેવી ફરજિયાત છે. રસીકરણની સાથે સિવિલ સર્જન દ્વારા તમામ યાત્રિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ એનાયત કરાયા હતા. યાત્રા દરમિયાન રાખવાની થતી તબીબી સાવચેતીઓ અંગે જરૂરી માર્ગદર્શન અને ઇમરજન્સી મેડિસિન કિટ પણ પૂરી પાડવામાં આવી હતી. હજ કમિટીના ટ્રેનર રહીશ અહેમદે જણાવ્યું હતું કે, આ વર્ષે પાટણ જિલ્લાના 300થી વધુ યાત્રિકો હજ પઢવા જઈ રહ્યા છે. આ તમામ યાત્રિકો આગામી એપ્રિલ માસના બીજા સપ્તાહમાં નિર્ધારિત ફ્લાઈટ દ્વારા રવાના થશે. સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વહીવટી સ્ટાફ અને કમિટીના સ્વયંસેવકોએ હાજર રહીને કામગીરી સુચારુ રૂપે પૂર્ણ કરી હતી.
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે ભરાતા મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ અને વેરાવળ વચ્ચે 13 થી 17 February, 2026 દરમિયાન વિશેષ ભાડા પર 5 દિવસ માટે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેનનું સમયપત્રક અને રૂટ ટ્રેન સંખ્યા 09513 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ દરરોજ સવારે 06:55 કલાકે રાજકોટથી રવાના થશે અને તે જ દિવસે સવારે 10:55 કલાકે વેરાવળ પહોંચશે. પરતમાં, ટ્રેન સંખ્યા 09514 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ વેરાવળથી બપોરે 15:20 કલાકે રવાના થઈ રાત્રે 20:00 કલાકે રાજકોટ પરત ફરશે. મહત્વના સ્ટોપેજ અને સુવિધા આ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર ઉભી રહેશે, જેથી મેળામાં જનારા શ્રદ્ધાળુઓને સરળતા રહે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જનસંપર્ક કાર્યાલય દ્વારા જણાવાયું છે કે મુસાફરો વધુ વિગત માટે રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
વાપીમાં 3.18 લાખના કોપરની ચોરી:પોલીસે CCTVના આધારે તપાસ કરી પાંચ શકમંદોની પૂછપરછ શરૂ કરી
વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મોડીસન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી આશરે 3.18 લાખની કિંમતના 188.990 કિલોગ્રામ તાંબાના (કોપર) વાયરની ચોરી થઈ છે. આ મામલે વાપી ઉદ્યોગનગર પોલીસે પાંચ શકમંદો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, તસ્કરોએ વાપી GIDCમાં આવેલી મોડીસન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના યુનિટ-2 ના પતરાં તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. આ ચોરીની ઘટના ગત તારીખ 15 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન બની હતી. કંપનીના રવિકુમાર કાંજીલાલ માંડવાવાળાએ 11 ફેબ્રુઆરીના રોજ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાતમીદારો અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી પાંચ શકમંદોની ઓળખ કરી છે. જેમાં શૈલેષ ઘેલાભાઈ મિસ્ત્રી, જગદીશ ચીમનભાઈ પટેલ, સતીષ ભગુભાઈ ડાભીયા, મહેન્દ્ર દત્તાત્રેય પાટીલ અને દિલીપ રામનિવાસ શુક્લાનો સમાવેશ થાય છે. વાપી ઉદ્યોગનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 305 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પાંચેય શકમંદોની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે. ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કરવા, આ ગેંગમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને તેમણે અન્ય કોઈ ચોરીઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
નવસારી જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત બાદ પક્ષમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં કાર્યકરોની અવગણના થઈ હોવાની લાગણી સાથે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે આજે વધુ ત્રણ હોદ્દેદારોએ પોતાના રાજીનામાં સુપરત કર્યા છે. આજે રાજીનામું આપનારાઓમાં જલાલપોર તાલુકાના મહામંત્રી કેતનભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલ તેમજ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રોશનીબેન પટેલનો સમાવેશ થાય છે. આ હોદ્દેદારોએ જિલ્લા સંગઠનના માળખામાં મહામંત્રીનો હોદ્દો ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા બે દિવસમાં કુલ સાત હોદ્દેદારોએ પક્ષના પદ પરથી રાજીનામાં આપ્યા છે. અગાઉ, નવનિયુક્ત જિલ્લા ઉપપ્રમુખ અશોક ભગુભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠન મંત્રી ચેતના પટેલે રાજીનામાં આપ્યા હતા. રાજીનામું આપનાર કેતન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે જિલ્લામાં ભાજપને મજબૂત કરવા માટે સખત મહેનત કરી છે. જલાલપોરના કાર્યકરોએ દરેક ચૂંટણીમાં પક્ષ માટે તનતોડ પ્રયાસો કર્યા છે, પરંતુ નવા માળખામાં જલાલપોરના એક પણ કાર્યકરને પ્રમુખ કે મહામંત્રીનો હોદ્દો અપાયો નથી. આ અન્યાય સામે અમારો વિરોધ છે. અમે હોદ્દા છોડી રહ્યા છીએ, પરંતુ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા રહીશું. લાંબા સમયથી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય આર.સી. પટેલે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ સાથે ટેલિફોનિક વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું. હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અંગત કામ અર્થે બહાર હોવાથી, તેઓ પરત ફરે ત્યારે હજુ વધુ રાજીનામાં પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પક્ષમાં પડેલું આ ગાબડું ભાજપ હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય બન્યું છે.
પાટડીની સગીરા પર સાણંદ-વિરમગામ હાઈવે પર દુષ્કર્મ:ધોળકાના યુવક અને મદદ કરનાર મિત્રો સામે ફરિયાદ
પાટડીમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સાણંદ-વિરમગામ હાઈવે પર ધોળકા તાલુકાના એક યુવકે આ કૃત્ય આચર્યું હતું, જેમાં તેના કાર ચાલક મિત્રએ મદદગારી કરી હતી. આ અંગે પાટડી પોલીસ મથકે પોક્સો કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડીમાં રહેતી 16 વર્ષ, 9 માસ અને 14 દિવસની સગીરાને તેની માતા ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતી હતી. આથી, ગત 5 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજના સમયે સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી નીકળ્યા બાદ સગીરા ખાનગી વાહનો દ્વારા પાટડીથી માંડલ, વિરમગામ, સાણંદ, બાવળા થઈ ધોળકા પહોંચી હતી. ત્યાં તેણે કોઈ વ્યક્તિના ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ પર દોઢ વર્ષથી મિત્ર બનેલા ધોળકા તાલુકાના વિરપુર ગામના ચેતન ઠાકોરનો સંપર્ક કર્યો હતો. અડધા કલાક બાદ ચેતન ઠાકોર તેના મિત્ર જયપાલ સાથે કાર લઈને સગીરાને મળવા આવ્યો હતો. સગીરાએ ઘરેથી ચાલી નીકળી હોવાનું જણાવતા, બંને યુવકો તેને સમજાવીને પરત વિરમગામ મૂકવા માટે કારમાં નીકળ્યા હતા. સાણંદ-વિરમગામ હાઈવે પર કાર ઊભી રાખીને જયપાલ કારમાંથી નીચે ઉતરી ગયો હતો. આ દરમિયાન ચેતન ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બંને યુવકો સગીરાને વિરમગામની પોપટ ચોકડી પાસે ઉતારીને જતા રહ્યા હતા. મોડી રાત્રે સગીરા પાટડી ચાર રસ્તા પાસે કોઈ વાહનમાંથી ઉતરતા પરિવારજનો તેને ઘરે લઈ આવ્યા હતા. બીજા દિવસે માતાએ પૂછપરછ કરતા સગીરાએ સમગ્ર ઘટના જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ ચેતન ઠાકોર સામે દુષ્કર્મ અને જયપાલ સામે મદદગારીની ફરિયાદ નોંધાવી છે. ડીવાયએસપી જે.ડી.પુરોહિત આ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજે કેન્દ્ર સરકારની નીતિઓ સામે શ્રમિકો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં LIC (ભારતીય જીવન વીમા નિગમ) અને વિવિધ બેંકોના હજારો કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળના કારણે બેંકિંગ અને વીમા ક્ષેત્રની કામગીરીને મોટી અસર પહોંચી છે. કર્મચારીઓએ એકઠા થઈને 'કેન્દ્ર સરકાર હાય હાય' ના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ શ્રમ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો, ખાનગીકરણની નીતિ અને નવી ભરતીનો અભાવ હોવાનું જણાવાયુ છે. કર્મચારીઓનો આરોપ છે કે સરકાર મોટા કોર્પોરેટ ગૃહોને ફાયદો કરાવવા માટે સામાન્ય શ્રમિકોના હિતોનું બલિદાન આપી રહી છે. વેસ્ટર્ન ઝોન ઈન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી હર્ષદ પોપટ આ વિરોધ પ્રદર્શન અંગે જણાવ્યું કે, આજે દેશમાં LIC, વિવિધ બેંકો સહિતની સરકારી સંસ્થાનાં 30 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાળ પર છે. તેનું મુખ્ય કારણ એ છે કે પહેલા જે 29 શ્રમ કાયદાઓ હતા, તેને સરકારે માત્ર 4 કાયદાઓમાં પરિવર્તિત કરી દીધા છે. પહેલાના 29 કાયદાઓથી કામદારો થોડા ઘણા અંશે સુરક્ષિત હતા, જોકે માલિકો ત્યારે શોષણ તો કરતા જ હતા, પરંતુ હવે તો સરકારે માલિકોને છૂટો દોર આપી દીધો છે. હવે માલિકો કામદારોનો પૂરો પગાર નહીં આપે, લીવ બેનિફિટ નહીં આપે, પેન્શન કે PF ના બેનિફિટ નહીં આપે તો પણ ચાલશે તેવી સ્થિતિ સર્જાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, 300 થી ઓછા કામદારો હોય તેવા એકમોમાં ગમે ત્યારે કર્મચારીઓને છૂટા કરવાની પરવાનગી આપી દેવાઈ છે. આ ઉપરાંત, 8 કલાકના બદલે 12 કલાક ફરજિયાત કામ કરવાનો જે સિદ્ધાંત લાવવામાં આવ્યો છે, તેનાથી કામદારના પારિવારિક જીવન પર ગંભીર અસર પડશે. સવારે 8 થી રાત્રે 8 સુધી કામ કરવાથી તે બાળકોના શિક્ષણ કે પરિવારને સમય આપી શકશે નહીં. ઓવરટાઈમની આવક પણ બંધ થઈ જશે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને જીવવું મુશ્કેલ બનશે. રાજકોટમાં LIC ના 200 થી વધુ અને બેંકોના મળીને હજારો કર્મચારીઓ આ લડતમાં જોડાયા છે. LIC એ દેશના વિકાસમાં, રસ્તા, લાઈટ અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં હંમેશા સરકારને આર્થિક ટેકો આપ્યો છે, તેમ છતાં સરકાર LIC ના શેર વેચીને તેનું ખાનગીકરણ કરવા તરફ જઈ રહી છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ત્યારે આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. AEE ઈન્ડિયન યુનિયનના રાજકોટ ડિવિઝનના સંગઠન મંત્રી ઈમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે, આ હડતાળમાં LICના ક્લાસ 3 અને 4 ના કર્મચારીઓ સાથે બેંક યુનિયનો, GEBના કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ પણ જોડાયા છે. જો કેન્દ્ર સરકાર શ્રમિક વિરોધી નીતિઓમાં ફેરફાર નહીં કરે અને લેબર લોઝને યોગ્ય રીતે અમલમાં નહીં મૂકે, તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય નેતાઓના આદેશ મુજબ ધરણા અને હડતાળ જેવા વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની લાંબા સમયથી નવી ભરતી કરવામાં આવી નથી. આગામી સમયમાં નિવૃત્ત થતા કર્મચારીઓની સંખ્યા વધુ હોવાથી સંસ્થાનું કામકાજ પ્રભાવિત થવાની પણ શક્યતા છે. ઉપરાંત, કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતીઓ અને અટકાવવામાં આવેલી બદલીઓના વિરોધમાં કર્મચારીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં શ્રમ કાયદાના સુધારા પરત ખેંચવા, 12 કલાકના કામના નિર્ણયને રદ કરવો, LIC ના ખાનગીકરણની પ્રક્રિયા રોકવી અને નિવૃત્ત થતા કર્મચારીઓની જગ્યાએ નવી ભરતી કરવાનો સમાવેશ થાય છે.
પાટણ ટ્રાન્સપોર્ટમાંથી 49 કિલો લેબલ વગરનું ઘી ઝડપાયું:ખાદ્ય અને ઔષધ તંત્રએ નમૂના લઈ સીઝ કર્યું
પાટણ શહેરમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પાટણ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાંથી 49 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ આ જથ્થો સીઝ કરી તેના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે. ટ્રાન્સપોર્ટના માલિક પરેશભાઈ મોદીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જથ્થો અરબાઝખાન હનીફભાઇ શેખ દ્વારા પરિવહન માટે આપવામાં આવ્યો હતો. સ્થળ પરથી 5 કિલોના ટીનના કુલ 10 ડબ્બા મળી આવ્યા હતા, જેના પર કોઈ લેબલિંગ નહોતું. આ ઉપરાંત, જથ્થાના પરિવહન માટે જરૂરી કોઈ બિલ કે ઇન્વોઇસ રજૂ કરવામાં આવ્યા નહોતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે સંકળાયેલા પક્ષ પાસે ખાદ્ય વ્યવસાય માટેનું અનિવાર્ય FSSAI લાઇસન્સ પણ ઉપલબ્ધ નહોતું. નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા અંદાજે 49 કિલો ઘીનો જથ્થો, જેની અંદાજિત કિંમત 34,300 રૂપિયા છે, તેને સીઝ કરવામાં આવ્યો છે. સ્થળ પર હાજર અરબાઝખાન હનીફભાઇ શેખ પાસેથી ઘીનો નમૂનો લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી અપાયો છે. લેબોરેટરીનો સત્તાવાર અહેવાલ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને માન્ય લાઇસન્સ, યોગ્ય લેબલિંગ અને જરૂરી દસ્તાવેજો સાથે જ ખાદ્ય પદાર્થોનો વ્યવસાય અને પરિવહન કરવા સૂચના અપાઈ છે.
ભરુચના ગુમ સ્પા સંચાલકની હત્યા!:વાગરા નજીક હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ મળ્યાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો મેળવી ઓળખ પ્રક્રિયા હાથ ધરી હતી. કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતોતપાસ દરમિયાન મૃતક યુવાન ભરૂચ શહેરમાં સ્પા વ્યવસાય સાથે સંકળાયેલ અને ઝાડેશ્વર વિસ્તારમાં રહેતો કૃણાલ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો અને તેના ગુમ થવા અંગે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ગળે ટુંપો આપી હત્યા કરી હોવાની આશંકાપ્રાથમિક તપાસ મુજબ અજાણ્યા શખ્સોએ કૃણાલ પટેલના હાથ-પગ બાંધી ગળે ટુંપો આપી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હત્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા પોલીસ સૂત્રોએ દર્શાવી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરીવાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનું ચોક્કસ કારણ, સંડોવાયેલા શખ્સો અને સમગ્ર ઘટનાક્રમ બહાર લાવવા પોલીસે વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે.
દેશના મોટા બેંક સંગઠનો ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI)એ આવતીકાલે ભારતબંધની જાહેરાત કરી હતી. આજે વડોદરા શહેરમાં પણ આ યુનિયનો હડતાળ પર છે. શહેરના મુજમહુડા ખાતે આવેલી બેંક ઓફ બરોડા બહાર બેંક કર્મચારીઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો હતો અને બંધ પાળ્યો હતો. જોકે, SBI આ હડતાળમાં જોડાઈ નથી, પરંતુ બહારથી સપોર્ટ જાહેર કર્યો છે. બેંક ઓફ બરોડા બહાર સૂત્રોચ્ચારમુજમહુડા ખાતે આવેલી બેંક ઓફ બરોડા બહાર બેંક કર્મચારીઓએ ભેગા થઈને વિરોધ કર્યો હતો અને ‘ગવર્મેન્ટ કી હિટલરશાહી, નહીં ચલેગી, નહીં ચલેગી’, ‘લેબર કોડ વાપસ લેના હોગા’ જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આજે વડોદરામાં રેલવે સહિત અન્ય કેટલાક યુનિયનપણ હડતાલ પર છે. ચાર નવા લેબર કોડ કર્મચારીઓના હિતમાં નથીઃ ડી. એલ. વ્યાસલોકલ બેંક એમ્પ્લોઈઝ કો-ઓર્ડિનેશન કમિટીના જનરલ સેક્રેટરી ડી. એલ. વ્યાસે જણાવ્યું હતું કે, દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો (BMS સિવાય) દ્વારા આજે 'ભારત બંધ'નું એલાન આપવામાં આવ્યું છે. બેંકિંગ ઉદ્યોગના ત્રણ મુખ્ય સંગઠનો AIBEA, AIBOA અને BEFIએ પણ આ હડતાળમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. લેબર કોડ પાછા ખેંચવાની અમારી માંગણી છે. સરકારે તાજેતરમાં જે ચાર નવા લેબર કોડ દાખલ કર્યા છે તે કર્મચારીઓના હિતમાં નથી. આનાથી માલિકોને 'હાયર એન્ડ ફાયર' (ગમે ત્યારે નોકરીએ રાખવા અને છૂટા કરવા)ની નીતિ મળી જશે. ‘સરકાર કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન આપી રહી છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નવા નિયમોથી મેનેજમેન્ટને કામના કલાકો વધારવાની સત્તા મળી જશે. સરકાર એક વર્ષ પછી ગ્રેચ્યુઈટી આપવાની વાત કરીને આડકતરી રીતે કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન આપી રહી છે. ખરેખર તો ગ્રેચ્યુઈટી નિવૃત્તિ સમયે મળવી જોઈએ. અત્યારે દેશના યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અમારી માગ છે કે કોન્ટ્રાક્ટ પ્રથાને બદલે કાયમી નોકરીઓ હોવી જોઈએ. ‘પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો આજે બંધ’તેઓએ કહ્યું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સિવાયની લગભગ તમામ પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો આજે બંધ છે. સ્ટેટ બેંકની કામગીરી ચાલુ છે, પરંતુ બાકીની મોટાભાગની બેંકોના કર્મચારીઓ કામથી અળગા રહ્યા છે. બેન્કિંગ સેક્ટરમાં '5-ડે વર્ક વીક' લાગુ કરવાની પણ માગઉલ્લેખનીય છે કે, હડતાળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારના 4 નવા લેબર કોડ છે. યુનિયનોનું કહેવું છે કે, આ કોડ 29 જૂના શ્રમ કાયદાઓનું સ્થાન લેશે, જેનાથી કર્મચારીઓના અધિકારોમાં ઘટાડો થશે અને ટ્રેડ યુનિયનોનું રજીસ્ટ્રેશન કરાવવું મુશ્કેલ બનશે. આ સાથે જ કર્મચારીઓ લાંબા સમયથી બેન્કિંગ સેક્ટરમાં '5-ડે વર્ક વીક' (અઠવાડિયામાં 5 દિવસ કામ) લાગુ કરવાની માગ કરી રહ્યા છે. યુનિયનોનો તર્ક છે કે કામના વધતા દબાણને કારણે કર્મચારીઓનું 'વર્ક-લાઇફ બેલેન્સ' બગડી રહ્યું છે. હાલમાં બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જેને કર્મચારીઓ દર શનિવારે લાગુ કરવાની માગ કરી રહ્યા છે.
ગાંધીનગરના ઇન્દ્રોડા કટ પાસે 11 ફેબ્રુઆરીની સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતા એક રોયલ એનફિલ્ડ બુલેટના ચાલકે પિતરાઈ ભાઈના બાઈકને જોરદાર ટક્કર મારતા બંને યુવાનના કરુણ મોત નીપજ્યા છે. આ મામલે મૃતક જગદીશસિંહના પિતા જશપાલસિંહ ડાભીએ બુલેટ ચાલક વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બુલેટચાલકે બાઈકને જોરદાર ટક્કર મારીફરિયાદ મુજબ, સેક્ટર-8માં રહેતા નિવૃત્ત જશપાલસિંહ ડાભીનો 40 વર્ષીય પુત્ર જગદીશસિંહ ડાભી અને તેમનો ભાણો ઘનશ્યામસિંહ કનુજી ચાવડા (રહે. સમૌ, માણસા) ગત સાંજે ઇન્દ્રોડા ગામમાં કામ અર્થે ગયા હતા. બાદમાં સાંજે આશરે પોણા સાત વાગ્યે તેઓ બાઇક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ રોડ ઇન્દ્રોડા કટ પાસે રોડ ક્રોસ કરતી વખતે ઇન્દ્રોડા સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવતા બુલેટ (નંબર GJ 18 FK 6400)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. બીજાએ સારવાર દરમિયાન દમ તોડ્યોઆ અકસ્માત સર્જાતા 108 મારફતે બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ ઘનશ્યામસિંહ ચાવડાને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ જગદીશસિંહ ડાભીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ રાત્રે તેમણે પણ દમ તોડી દીધો હતો. એક જ અકસ્માતમાં બે યુવાનના મોતથી ડાભી અને ચાવડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે મૃતક જગદીશના પિતાએ સેકટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ખાવડામાં આતંક મચાવનાર વાંદરો પકડાયો:વન વિભાગે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યો
પોરબંદરના માધવપુર નજીક આવેલા ખાવડા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવનાર એક તોફાની વાંદરાને વન વિભાગે પાંજરે પૂર્યો છે. આ વાંદરાના ત્રાસથી સ્થાનિક લોકો ભયભીત હતા. મળતી માહિતી મુજબ, આ વાંદરો અચાનક લોકોની પાછળ દોડતો, ઘરોમાં ઘૂસી જતો અને ઘરવખરીને નુકસાન પહોંચાડતો હતો. તેના હુમલાખોર વલણને કારણે ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભારે ડરનો માહોલ હતો. વાંદરાનો ત્રાસ અસહ્ય બનતા સ્થાનિક રહીશોએ પોરબંદર વન વિભાગનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતા જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગના કર્મચારીઓ માધવપુર સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી વાંદરાને પકડી પાડ્યો હતો. વાંદરો પકડાઈ જતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. પકડાયેલા વાંદરાને હાલ સુરક્ષિત રીતે પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેને વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
દિલ્હીમાં અમદાવાદ ઓલિમ્પિક 2036 માટે ચર્ચા:હર્ષ સંઘવી આજે અમિત શાહ સાથે બેઠક કરશે
અમદાવાદમાં 2036 ઓલિમ્પિક ગેમ્સના આયોજનને લઈને સરકાર સ્તરે તૈયારીઓ તેજ બની છે. આ મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે (12 ફેબ્રુઆરી) દિલ્હીની મુલાકાતે જશે. દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, જેમાં ઓલિમ્પિક આયોજન માટેની વ્યૂહરચના અને આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થવાની છે. ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વાતચીતસૂત્રો અનુસાર, બેઠકમાં ખાસ કરીને ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લઈને વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ થશે. રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્ટેડિયમ, ટ્રેનિંગ સેન્ટર, એથ્લીટ વિલેજ અને ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વિકસાવવા માટેના આયોજન પર ચર્ચા કરવામાં આવશે. અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવા પ્રયત્નોઅમદાવાદ ખાતે બની રહેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના નિર્માણની પ્રગતિ પણ બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડા રહેશે. વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ સુવિધાઓ ઉભી કરીને અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બેઠક બાદ આગામી રણનીતી નક્કી થશેરાજ્ય સરકાર 2036 ઓલિમ્પિક ગેમ્સના સંભવિત આયોજનને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની યોજના બનાવી રહી છે. દિલ્હી બેઠક બાદ આગામી દિવસોમાં વધુ ગતિ સાથે તૈયારીઓ આગળ વધે તેવી શક્યતા છે.
બળેજ નજીક કારે બાઈકને અડફેટે લીધી:ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું મોત
બળેજ ગામ નજીક ગોકુલ ડેરી પાસે એક માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે. પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. માધવપુર પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક બળેજ ગામના ગલાભાઈ મૂળુભાઈ ઉલવા હતા. તેઓ પોતાની બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ગોકુલ ડેરી નજીક એક ફોરવ્હીલ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ગલાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા માધવપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ, પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મામાકોઠા રોડ પર દાંતીયાવાળી શેરી નજીકથી આનંદનગરના એક શખસને ડયુક સ્કૂટર સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખસ પાસેથી અંદાજિત રૂપિયા 22,450ની કિંમતનો 449 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ત્રણ દિવસ પહેલા સુરતના અશ્વિનીકુમાર રોડ પરથી ગાંજો લાવી ભાવનગર પહોંચાડ્યાની કબૂલાત આપી છે. નોંધનીય છે કે, આરોપી સામે અગાઉ પણ ઘોઘારોડ અને પાલીતાણા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસ કરતા સૂકો ગાંજો મળી આવ્યોઆ અંગે એસઓજી કચેરીથી મળતી માહિતી મુજબ સ્પેશિયલ ઓપરેશન ગૃપને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, જેના આધારે ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર દાંતિયાવાળી શેરી પાસેથી યુટ સ્કુટર નંબર GJ.04.DH- 9148 સાથે નીકળેલા યાસીન અબ્દુલરહેમાનભાઈ પઠાણ (ઉં.વ 65, રહે. ભાવનગર)ને અટકાવી તેની તપાસ કરી હતી. આ સમયે તેના કબજામાંથી રૂ.22.450નો સૂકો ગાંજો, જેનું વજન 449 ગ્રામ મળી આવતા એસઓજી પોલીસે સ્કુટર, ગાંજો, બે મોબાઈલ મળી કુલ રૂ. 74,450નો મુદામાલ કબજે કરી અટકાયત કરી હતી. આરોપીએ પોલીસ સામે કબૂલાતઆરોપીની પૂછપરછ કરતા આ ગાંજો ત્રણ દિવસ પુર્વે સુરતના અશ્વિનીકુમાર રોડ પરથી એક અજાણ્યા શખસ પાસેથી મેળવી ભાવનગર લઈ આવ્યાની કબૂલાત આપી હતી. બનાવના પગલે યાસીન અબ્દુલરહેમાનભાઈ પઠાણ સામે NDPS. એકટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી SOGના એ.એસ.આઈ. જયરાજસિંહ જાડેજા દ્વારા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. ગાંજા સાથે ઝડપાયેલા શખસ સામે અગાઉ ઘોઘારોડ પોલીસ મથક અને પાલીતાણા પોલીસ મથકમાં અલગ-અલગ એનડીપીએસ એક્ટ હેઠળ ગુના દાખલ થયા હોવાનું એસઓજી કચેરીથી જાણવા મળ્યુ હતું.
સુરતમાં માથાભારે છાપ ધરાવતા અને 'તાલીબાની' અત્યાચાર ગુજારવા માટે જાણીતા ચિરાગ ગોટીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાગીદારની કારમાં ડ્રગ્સ મુકાવી તેને ફસાવવાના ષડયંત્ર બાદ હવે તેની સામે ચોક બજાર પોલીસ મથકમાં વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. વેડ રોડ પર રહેતા જમીન દલાલ જિજ્ઞેશ મગનભાઈ વ્યાસનું અપહરણ કરી, તેમની પાસે 2 લાખની ખંડણી માંગી 50 હજાર પડાવી લેવા બદલ ચિરાગ ગોટી, તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ સુરત પોલીસે હવે આખા ગોટી પરિવાર અને તેમના ગુનાહિત નેટવર્ક પર તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે. શ્યામ લુબ્રિકન્ટ ઓઈલ કંપનીના 107 કરોડના ટર્નઓવર પાછળનું કાળું સત્યતપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ચિરાગ ગોટી 'શ્યામ લુબ્રિકન્ટ્સ' નામની કંપની ચલાવે છે, જેનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 107 કરોડ રૂપિયા જેટલું છે. જોકે, પોલીસનો આરોપ છે કે આ ઓઈલ કંપની માત્ર એક મહોરું છે. આ કંપનીની આડમાં ચિરાગ મિલકત વિવાદો ઉકેલવા, વ્યાપારી લેવડદેવડમાં દબાણ ઉભું કરવા અને લોકોના પ્લોટ હડપવા જેવા ગુનાહિત કામો કરતો હતો. છેલ્લા આઠ મહિનાથી આ કંપની બંધ હાલતમાં હતી કારણ કે ચિરાગ ફરાર હતો. હવે તપાસ એજન્સીઓ આ કંપનીના તમામ નાણાકીય વ્યવહારો અને હિસાબોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. હથિયારો સાથેના ફોટા વાઇરલચિરાગ ગોટીને હથિયારોનો ખૂબ શોખ હોવાનું તેના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી જણાય છે. તેના અનેક ફોટા વાઇરલ થયા છે જેમાં તે હાથમાં પિસ્તોલ રાખીને પોઝ આપતો જોવા મળે છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) આ હથિયારોની તપાસ કરી રહી છે. જોકે, પોલીસની કડક પૂછપરછમાં ચિરાગે એવો દાવો કર્યો હતો કે આ માત્ર 'એરગન' હતી. ગણપતિ ઉત્સવ દરમિયાન પણ તેના ઘર પાસે હવામાં ફાયરિંગ કરતો એક વીડિયો વાઇરલ થયો હતો, જેને લઈને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. ભાજપના ખેસમાં વાઇરલ થયેલા ફોટાચિરાગ ગોટીની ધરપકડ બાદ સુરતમાં રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓએ ચિરાગના ફોટા વાઇરલ કર્યા છે જેમાં તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અને ભાજપના ખેસમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કતારગામના ધારાસભ્ય વિનું મોરડીયા સાથેના ફોટો વિપક્ષ દ્વારા વાઇરલ કરાયા છે. વિપક્ષનો આરોપ છે કે ચિરાગ આવા રાજકીય સંબંધોના જોરે જ અત્યાર સુધી બચતો આવ્યો હતો. જોકે, પોલીસ કમિશનરની કડક સૂચના બાદ હવે કોઈ પણ રાજકીય પીઠબળ તેને બચાવી શકે તેમ લાગતું નથી. પોતાના જ કર્મચારીઓ પર પાશવી અત્યાચારચિરાગ ગોટીની ક્રૂરતાની પરાકાષ્ઠા તેના જ કર્મચારીઓ સાથેના વર્તનમાં જોવા મળી છે. બીલીમોરાના ધોલાઈ બંદરે તેની ઓફિસમાં કામ કરતા પાર્થ મિયાણી પર 11 હજારની હેરાફેરીનો આરોપ લગાવી તેને ડંડા વડે બેરહેમ માર માર્યો હતો. અન્ય એક કિસ્સામાં, ટેન્કર ડ્રાઈવર પર ઓઈલ ચોરીનો આરોપ લગાવી તેને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. નવાઈની વાત એ છે કે ચિરાગે પોતે જ આ અત્યાચારના વીડિયો ઉતાર્યા હતા અને તેને વાઇરલ કરી પાશવી આનંદ લીધો હતો. આ વીડિયો હવે પોલીસ માટે સૌથી મોટો પુરાવો સાબિત થયા છે. ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાનું ખતરનાક કાવતરુંઆ આખા પ્રકરણની શરૂઆત અંદાજે 10 મહિના પહેલા થઈ હતી જ્યારે અલ્પેશ મિયાણી નામના વેપારીની કારમાંથી 78 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. શરૂઆતમાં આ એક સામાન્ય ડ્રગ્સ કેસ લાગતો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંતે પોતાના જ ભાગીદાર અલ્પેશને રસ્તામાંથી હટાવવા માટે તેની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યું હતું. આ કેસની તપાસ જ્યારે ACP ઝવેરભાઈ દેસાઈને સોંપવામાં આવી ત્યારે આખા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. નેપાળ ભાગી ગયો, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શરણાગતિજ્યારે પોલીસનો સકંજો કસાયો ત્યારે ચિરાગ ગોટી લાંબો સમય ફરાર રહ્યો હતો. તે ધરપકડથી બચવા માટે નેપાળ ભાગી ગયો હોવાની પણ ચર્ચા હતી. તેણે આગોતરા જામીન મેળવવા માટે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે તેને રાહત આપવાનો ઇનકાર કરતા અને પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપતા આખરે તે શરણે આવ્યો હતો. જમીન દલાલ જિજ્ઞેશ વ્યાસનું વેડ રોડ પરથી અપહરણ કર્યું હતુંચોક બજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ 15 ઓક્ટોબર 2021ના રોજ ચિરાગ અને તેની ટોળકીએ જમીન દલાલ જિજ્ઞેશ વ્યાસનું વેડ રોડ પરથી અપહરણ કર્યું હતું. તેમને જબરદસ્તી ચિરાગના ઘરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની પાસે ધંધો કરવાના બહાને 50 હજાર રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા અને દર મહિને 2 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન પણ જિજ્ઞેશભાઈને ઢોર માર મારી તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. વિવિધ ગુનાઓની તપાસ અલગ-અલગ એજન્સીઓ કરી રહી છેહાલમાં ચિરાગ ગોટી પોલીસ કસ્ટડીમાં છે. તેની સામે નોંધાયેલા વિવિધ ગુનાઓની તપાસ અલગ-અલગ એજન્સીઓ કરી રહી છે. હથિયારના કેસમાં SOG તપાસ કરી રહી છે, જ્યારે ખંડણી અને અપહરણના કેસમાં ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ચિરાગના આ કાળા કારનામામાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે અને તેણે અત્યાર સુધી કેટલા લોકોની મિલકતો પર કબજો જમાવ્યો છે.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ગૌમાસનું વેચાણ તેમજ દારૂનું વેચાણ કરનાર અને માથાભારે શખસોને પાસા હેઠળ ધકેલી દીધા છે. ક્રાઇમ બ્રાન્ચે કાયદાના સકંજામાં આવેલા આવા શખસોની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જે દરખાસ્તો પર જિલ્લા મેજીસ્ટ્રેટની મંજૂરી મળતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી પાંચ શખસોની પાસા વોરન્ટ હેઠળ ધરપકડ કરી તેમને ભુજ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. માથાભારે શખસો વિરુદ્ધ કાર્યવાહીભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ ગૌ માંસ રાખી વેચાણ કરનાર તથા ઈગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ શખસોને તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા તેમજ માથાભારે શખસો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનાં હેતુથી તેઓની પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી હતી, જે દરખાસ્તો જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગરને મોક્લી આપવામાં આવી હતી. આરોપીઓને જેલમાં મોકલાયાદરખાસ્ત અંગે જીલ્લા મેજીસ્ટ્રેટએ પાસા દરખાસ્ત વંચાણે લઈ માન્ય રાખી તમામ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા લોકલ ક્રાઈમ બ્રાંચે પાસા વોરંટની બજવણી કરી ગૌ માંસ રાખી વેચાણ કરનાર ઈરફાન ઉર્ફે ઈનો કાસમભાઈ લાખાણી (ઉ.વ-37) રહે.ભાવનગરને ખાસ જેલ ભુજ, પ્રોહિ. બુટલેગર્સ હર્ષિલ ઉર્ફે ભુરો ઉર્ફે ગલ્લો અરવિંદભાઈ દવે (ઉ.વ.25) રહે. ભાવનગરને મધ્યસ્થ જેલ, સાબરમતી અમદાવાદ, હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઈ બારૈયા રહે ભાવનગરને મધ્યસ્થ જેલ વડોદરા, મેહુલ પરશોત્તમભાઈ બારૈયા (ઉ.વ.28) રહે. સોનગઢ તા.શિહોરને મધ્યસ્થ જેલ લાજપોર, સુરત અને માથાભારે શખસ સંજય ઉર્ફે ગણીયો દેવરાજભાઈ ગોહેલ (ઉ.વ.20) રહે. ભાવનગરને મધ્યસ્થ જેલ, રાજકોટ મોકલી આપવામાં આવ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે, ત્યારે સુરત જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે કમર કસી છે. સુરત ડી.ઈ.ઓ. ભગીરથસિંહ ગઢવીએ પરીક્ષા લક્ષી નવી ગાઈડલાઈન અને કડક પગલાંઓની જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે, ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. CCTVના મોનિટરિંગ માટે 7 ટીમો બનાવાઈઃ DEO ડી.ઈ.ઓ. ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, સુરતની અંદર ધોરણ 10માં 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાથે જ ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 45,000થી વધુ, વિજ્ઞાન પ્રવાહમાં 17,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ કુલ મળી 1,61,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 5653 જેટલા વર્ગખંડોમાં સમગ્ર સીસીટીવી હેઠળ વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. આ સીસીટીવીના મોનિટરિંગ માટે સાત ટીમો પણ બનાવવામાં આવી છે. પરીક્ષા એ વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ છે અને તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં. ટ્રાઇબલ વિસ્તારમાં પરીક્ષાર્થીઓ માટે બસની સુવિધા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલી ન પડે તે માટે ટ્રાવેલિંગ માટે સિટી વિસ્તારમાં સિટી બસો ગ્રામ્ય વિસ્તારોમાંથી જીએસઆરટીસી અને ટ્રાઇબલ વિસ્તારમાં બિરસા મુંડા એક્સપ્રેસ બસનો પણ ખાસ સુવિધા વિદ્યાર્થીઓ માટે ઊભી કરવામાં આવી છે. ટ્રાઇબલ એરિયા માટે 'બિરસા મુંડા એક્સપ્રેસ'નો પ્રારંભસુરત અને આસપાસના ટ્રાઇબલ (આદિવાસી) વિસ્તારોના મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા આ વિસ્તારોમાં પરિવહન સુવિધા વધારવા માટે 'બિરસા મુંડા એક્સપ્રેસ' બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. કુલ 14 જેટલી નવી બસો ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં દોડાવવામાં આવશે. આ બસોને કારણે અંતરિયાળ વિસ્તારના લોકો માટે અવરજવર સરળ બનશે.
રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે સરકાર દ્વારા ઘોષિત 185 નદીઓના બંને કાંઠે વૃક્ષ ઉછેર અભિયાનને હવે વેગ મળવાનો છે. વન વિભાગે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ₹20 કરોડના બજેટની માંગણી કરી છે, જે નવા રાજ્ય બજેટમાં મંજૂર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અગાઉ જણાવ્યું હતું કે, ગ્રીન કવર વધારવા રાજ્યની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન સંરક્ષણ અને સંવર્ધન હેઠળ વિશાળ વૃક્ષારોપણ હાથ ધરાશે. ગ્રીન કવર વધવાથી રાજ્યનો વન વિસ્તાર વધશે. વરસાદમાં વધારો થશે, જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદ મળશે, ઓક્સિજનનું પ્રમાણ વધશે અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકારના વર્ષ 2023ના ‘ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ’ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. આ પ્રમાણ વધારવા માટે નદીકાંઠા પર ગ્રીન બેલ્ટ વિકસાવવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે. પહેલા સ્વચ્છતા, પછી માપણી અને ત્યારબાદ વાવેતરપ્રોજેક્ટ હેઠળ હજી નદીઓની માપણી બાકી છે. તબક્કાવાર કામગીરીમાં પ્રથમ નદી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. ત્યારબાદ BISAG (ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ) દ્વારા GIS મેપિંગ અને જમીનની માપણી કરવામાં આવશે. જમીનની સીમા નિર્ધારિત થયા પછી જ વાવેતર શરૂ થશે. સરકારે આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવાની સમયરેખા નક્કી કરી છે, જ્યારે વન વિભાગે વ્યાપક આયોજન અને જાળવણીને ધ્યાનમાં રાખીને 10 વર્ષનો સમયગાળો માંગ્યો છે. જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર માટેવન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, નદીકાંઠાની સરકારી અને બિનઉપયોગી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર અને વૃક્ષ ઉછેર માટે જ થશે. કોઈ પણ પ્રકારની વાણિજ્યિક કે નફાકારક પ્રવૃત્તિ મંજૂર નહીં થાય. જમીન પર દબાણ હોય તો તેને દૂર કરવાની જવાબદારી પણ વન અને પર્યાવરણ વિભાગની રહેશે. જો જમીનમાંથી ઇલેક્ટ્રિક લાઇન કે પાઇપલાઇન પસાર થતી હોય તો સંબંધિત કચેરીઓનો અભિપ્રાય લઈ આગળની કાર્યવાહી કરાશે. 185 નદીઓનો સમાવેશવન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, Riverine Forest Landscape Management હેઠળ તળ ગુજરાતમાં 17 નદીઓ (નર્મદા, તાપી, પૂર્ણા સહિત), સૌરાષ્ટ્રમાં 71 અને કચ્છમાં 97 નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશથી નદીકાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળસ્તર સુધરશે. દીપડા માટે નવા અભ્યારણની તૈયારીઆ સમગ્ર ગ્રીન મિશન સાથે જ રાજ્ય સરકાર દીપડાની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એક નવા અભ્યારણની શરૂઆત કરવાની તૈયારીમાં છે. દીપડાના ખોરાક અને સંરક્ષણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી માનવ-વન્યપ્રાણી સંઘર્ષમાં ઘટાડો થાય. રાજ્ય સરકારનું આ દ્વિગુણ આયોજન
વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે
AI Image
વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવક વિજય નટુભાઈ પરમારે રાત્રિના સમયે ઘરેથી નીકળી જઈને ગામ નજીકના ખેતરમાં રાયણના ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બીજા દિવસે સવારે તેની માતા ખેતરમાં જતી વખતે પુત્રને ઝાડ પર લટકતી હાલતમાં જોઈને ચોંકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર, વિજય પરમાર છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને પોતાની મરજી મુજબ જીવન જીવવાની ટેવ ધરાવતો હતો. તેને મોંઘા મોબાઈલનો શોખ હતો અને તાજેતરમાં જ તેણે મોંઘા ભાવનો આઈફોન ખરીદ્યો હતો. પરંતુ કામ-ધંધામાં ધ્યાન ન આપવા અને પોતાની મરજી પ્રમાણે વર્તવાના કારણે પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી આઘાત પામેલો વિજય રાત્રે કોઈને કંઈ કહ્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. મોડી રાત સુધી ઘરે ન પરત ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી અને મિત્રો તથા સંભવિત સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. બીજા દિવસે સવારે માતા ખેતરમાં ચારો લેવા ગઈ ત્યારે ખેતરના છેડે આવેલા રાયણના ઝાડ પર પુત્ર વિજયને દોરડા વડે ગળે ફાંસો ખાઈને લટકતો જોયો હતો. આ દૃશ્ય જોતાં જ માતા ચોંકી ઉઠી અને તરત જ પરિવારજનો તથા ગામના લોકોને જાણ કરી હતી. ઘટનાસ્થળે દોડી આવેલા લોકોએ જવાહરનગર પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહની તપાસ કરી તેના ખિસ્સામાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે લીધો હતો. આ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાએ આખા ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લામાં 2.38 લાખ હેક્ટરમાં રવિ પાક વાવેતર:તમાકુના વાવેતરમાં વધારો, ચણાનું પણ બમ્પર વાવેતર
પાટણ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા 2,38,580 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે તમાકુના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે ચણાનું પણ મોટા પાયે વાવેતર થયું છે. ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોને અપેક્ષિત ઉત્પાદન મળ્યું ન હતું. તેથી, રવિ સિઝનમાં સારા ઉત્પાદનની આશા રાખવામાં આવી રહી છે. જિલ્લામાં ઘઉં, ચણા, રાઈ, જીરું, ધાણા, લસણ, સુવા, ઈસબગુલ, વરિયાળી, ડુંગળી, બટાકા, શાકભાજી, ઘાસચારો, મેથી, અજમો અને ગાજર જેવા વિવિધ રવિ પાકોનું વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર સાંતલપુર તાલુકામાં 43,712 હેક્ટરમાં નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું સિદ્ધપુર તાલુકામાં 14,995 હેક્ટરમાં થયું છે. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી તમાકુનું વાવેતર વધી રહ્યું છે. આ પાકમાં રોગ-જીવાતની શક્યતાઓ ઓછી હોય છે અને જંગલી પ્રાણીઓ પણ તેને નુકસાન પહોંચાડતા નથી. આ ઉપરાંત, તમાકુ એક રોકડિયો પાક હોવાથી ખેડૂતોને વેચાણ બાદ તાત્કાલિક રોકડ મળે છે. ગત વર્ષે જિલ્લામાં 7,967 હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષે વધીને 9,235 હેક્ટર થયું છે. આમ, ગત વર્ષની સરખામણીમાં 1,268 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર વધ્યું છે. સરકાર દ્વારા તમાકુ ઉત્પાદનો પર વધારવામાં આવતા ટેક્સને કારણે પણ તમાકુના ભાવમાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે, જે ખેડૂતોને આ પાક તરફ વધુ આકર્ષે છે. રવિ સિઝનમાં ચણાનું વાવેતર પણ પાટણ જિલ્લામાં મોટા પાયે થાય છે. ચાલુ વર્ષે ખેડૂતોએ 62,275 હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર કર્યું છે. જેમાં ચાણસ્મામાં 50 હેક્ટર, હારીજમાં 4,040 હેક્ટર, રાધનપુરમાં 5,100 હેક્ટર, સમીમાં 35,090 હેક્ટર, સાંતલપુરમાં 1,800 હેક્ટર અને શંખેશ્વરમાં 16,195 હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે. ખેડૂતોને ચણાના વાવેતરમાં સારા ભાવ અને ઉત્પાદન મળવાની આશા છે. કયા પાકનું કેટલુ વાવેતર થયું ? (હેકટરમાં)
સગાઈ તોડી એટલે કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો પથ્થર મારી મોઢું છૂંદી નાખ્યું. હત્યા બાદ મૃતક સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે તમારી દીકરીને પતાવી દીધી છે અને હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી રહ્યો છું. આ ખતરનાક ઘટના ગઈકાલે (11 ફેબ્રુઆરી) રાત્રે અમદાવાદમાં કાંકરિયાના ગેટ નંબર 7 પાસે બની. હાલ તો સમગ્ર મામલે મણિનગર પોલીસે હત્યા કરનાર હેવાન મહમંદ આવેઝ પઠાણની ધરપકડ કરી લીધી છે. કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો પથ્થર માથામાં મારીને હત્યા કરીગોમતીપુરમાં રહેતી 17 વર્ષની સગીરાની મહમંદ આવેઝ પઠાણ નામના યુવક સાથે સગાઈ થઈ હતી. 11 જાન્યુઆરી રાતના સમયે સગીરા અને આવેઝ રાતના 10:30 વાગ્યાની આસપાસ કાંકરિયા ગેટ નંબર 7 પાસે મળ્યા હતા. આવેઝને કેટલાક સમયથી સગીરા પર શંકા હતી, જેથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આવેઝે ગુસ્સામાં કોટા સ્ટોનનો ધારદાર અણીવાળો પથ્થર મારીને હત્યા કરી હતી. હત્યા બાદ મંગેતર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયોપોતાની મંગેતરની હત્યા કર્યા બાદ આરોપી આવેઝ સામેથી મણિનગર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. મણિનગર પોલીસને બનાવની જાણ થતા ડીસીપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બનાવની જગ્યા કોર્ડન કરીને સગીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. યુવકને સગીરા પર શંકા હતીઆ મામલે ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, યુવકે સગીરાને પથ્થર મારીને હત્યા કરી છે. યુવકને સગીરા પર શંકા હતી અને તેના જ કારણે હત્યા કરી હોવાની પ્રાથમિક વિગત મળી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે. 2 દિવસ પહેલાં જ સગાઈ તોડી હતી:મૃતકનો ભાઈમૃતક સગીરાના ભાઈએ જણાવ્યું હતું કે, આરોપી આવેઝ મારી બહેનને અવારનવાર ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો. અમે 2 દિવસ અગાઉ જ સગાઈ તોડી નાખી હતી. અમે સગાઈ તોડી ત્યારે જ અમને ધમકી આપી હતી કે મારી બહેનને ઘરમાં આવીને મારી નાખશે. આજે મારી બહેનનું મોઢું ઓળખાય નહીં, તે રીતે મોઢા પર પથ્થર મારીને હત્યા કરી દીધી છે. સગાઈ તોડી એટલે હત્યા કરી: મૃતકના પિતામૃતકના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી દુકાને હતી, ત્યારે વાત કરવાનું કહીને આવેઝ તેની સાથે લઈ ગયો હતો. સાથે લઈ ગયા બાદ હત્યા કરીને મને સામેથી ફોન કરીને કહે છે કે, તમારી દીકરીની હત્યા કરીને હું પોલીસને સરેન્ડર કરી રહ્યો છે. સગાઈ તોડી એટલે હત્યા કરી છે. મારી દીકરીનું મોઢું ઓળખાય તેવું રાખ્યું નથી. અમારી માગ છે કે, હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે અગત્યની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જેમાં કારેલીબાગ LT સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધીનો રસ્તા પર નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીના કારણે બંધ રહેશે. આ માર્ગ પર આગામી 21 ફેબ્રુઆરીથી કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ રસ્તા પર ટ્રાફિક માટે 'વન-વે' (એકમાર્ગીય) વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે રસ્તાની બાજુમાં આવેલી ખાણી-પીણીની લારીઓ કે સ્ટોલ્સ પાસે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પાર્ક કરવા પર સખત પ્રતિબંધ છે. સાથે અહીંયા કામગીરી ચાલતી હોવાથી ઊંડી કામગીરી અને ભારે મશીનરીના ઉપયોગને કારણે અકસ્માત થવાનો ભય હોવાથી, જાહેર જનતાને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા ગોત્રી રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે વાહનચાલકોએ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ વિસ્તારમાં આવેલા યશ કોમ્પ્લેક્સથી હરિનગર બ્રિજ જંક્શન સુધીનો મુખ્ય રસ્તો કામગીરીના કારણે બંધ રહેશે. અહીં નવી ડ્રેનેજ લાઈન માટે ભારે મશીનરી, મટીરીયલ અને શ્રમિકોની અવરજવરને કારણે આ માર્ગનો ઉપયોગ જોખમી બની શકે છે. જેથી કામગીરીની જરૂરિયાત મુજબ યશ કોમ્પ્લેક્સથી હરિનગર બ્રિજ નીચેના જંક્શન સુધીના રસ્તાને તબક્કાવાર બંધ રાખવામાં આવશે. વાહનચાલકોએ કેરેજ-વેના બાકીના ભાગ અથવા અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. સાથે કામગીરી વધુ ઊંડાઈએ હોવાથી સુરક્ષાના હેતુથી લોકોને પ્રતિબંધિત જગ્યાએ ન જવા અને તંત્રને સહકાર આપવા વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ધોરણ 10 અને 12 ના 3,74,628 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. જેમાં ધો.10 માં 2,24,787, ધો.12 સામાન્ય પ્રવાહમાં 1,23,011 અને વિજ્ઞાન પ્રવાહમાં 26830 વિદ્યાર્થીઓ છે. જેમાં એક્સપર્ટના કહેવા પ્રમાણે નવી શિક્ષણ નીતિ અનુસાર 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ મળશે એટલે કે વિદ્યાર્થીઓને એક સવાલ ન આવડતું હોય તો તેના અથવામાં બીજો ઓપ્શન આપવામાં આવશે જેને કારણે વિદ્યાર્થીઓને પેપર લખવામાં સરળતા રહેશે. એક્સપર્ટ નિલેશ સેંજલિયાએ જણાવ્યું હતુ કે, આ વખતે બોર્ડની પરીક્ષામાં 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. જેથી 80 માર્કના પેપરમાં 56 માર્કનો સબ્જેક્ટિવ પુછાશે. જ્યારે 24 માર્કનું ઓબ્જેકટીવ પૂછવામાં આવશે. ઓબ્જેકટીવ માં ખાલી જગ્યા, જોડકા જોડો અને એક શબ્દમાં જવાબ આપો તે પ્રકારના સવાલો અથવા MCQ પૂછાય. ટેક્સ્ટ બુક યોગ્ય રીતે કરેલી હોય તો તેઓને 24માંથી 24 માર્ક મળી શકે છે. જ્યારે બી સેક્સન 56 માર્કનું હોય છે. જેમાં કુલ 13 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમાંથી કોઈ પણ 9ના જવાબ આપવાના હોય છે. જનરલ ઓપ્શન ની સિસ્ટમ છેલ્લા ત્રણ વર્ષથી એપ્લાય થઈ છે. જેના લીધે વિદ્યાર્થીઓને પેપર લખવામાં ખૂબ જ સરળતા રહે છે. સેક્શન C માં 3 માર્કવાળા પ્રશ્નો હોય. જેમાં 9 માંથી કોઈ પણ 6 સવાલના જવાબ આપવાના હોય છે. આ ઉપરાંત સેક્શન D માં 4 માર્કવાળા પ્રશ્નો હોય છે. જેમાં 8 પ્રશ્નો પૂછવામાં આવ્યો હોય અને તેમાંથી કોઈ પણ 5 ના જવાબ આપવાના હોય છે. સૌરાષ્ટ્રમાં ધો.10 ના વિદ્યાર્થીઓ જિલ્લો - વિદ્યાર્થીઓ રાજકોટ - 46705ભાવનગર - 37501જૂનાગઢ - 24823સુરેન્દ્રનગર - 20014અમરેલી - 19567ગીર સોમનાથ - 18355જામનગર - 17343મોરબી - 14014બોટાદ - 10082દેવભૂમિ દ્વારકા - 9125પોરબંદર - 7258કુલ - 2,24,787 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ રાજકોટ - 7927ભાવનગર - 6292જૂનાગઢ - 2754જામનગર - 1905મોરબી - 1888અમરેલી - 1635ગીર સોમનાથ - 1484સુરેન્દ્રનગર - 1271બોટાદ - 930પોરબંદર - 413દેવભૂમિ દ્વારકા - 331કુલ - 26830 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જિલ્લો - વિદ્યાર્થીઓ રાજકોટ - 25875ભાવનગર - 18868જૂનાગઢ - 11772સુરેન્દ્રનગર - 10923અમરેલી - 10472ગીર સોમનાથ - 9672જામનગર - 9169મોરબી - 6926બોટાદ - 5542દેવભૂમિ દ્વારકા - 3936પોરબંદર - 3883કુલ - 1,23,011
પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ ઉમટનારી ભીડને ધ્યાનમાં રાખીને, 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી 2026 દરમિયાન 4 જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” અનારક્ષિત દૈનિક ટ્રેનો સંચાલિત કરવામાં આવશે. આ ટ્રેનો વિશેષ ભાડા પર ઉપલબ્ધ રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, રાજકોટ-વેરાવળ-રાજકોટ (09513/09514) સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે 6:55 કલાકે રાજકોટથી ઉપડી 10:55 કલાકે વેરાવળ પહોંચશે. પરત ફરતી ટ્રેન બપોરે 3:20 વાગ્યે વેરાવળથી નીકળી રાત્રે 8:00 વાગ્યે રાજકોટ પરત ફરશે. આ ટ્રેન કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે. ભાવનગર-વેરાવળ-ભાવનગર (09581/09582) સ્પેશિયલ ટ્રેન સવારે 6:50 વાગ્યે વેરાવળથી ઉપડી બપોરે 2:00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. પરત ફરતી ટ્રેન બપોરે 2:50 વાગ્યે ભાવનગરથી નીકળી રાત્રે 9:35 વાગ્યે વેરાવળ આવશે. આ રૂટ પર જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા અને સિહોર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે. વેરાવળ-ગાંધીગ્રામ-વેરાવળ (09584/09583) સ્પેશિયલ ટ્રેન વહેલી સવારે 4:00 વાગ્યે વેરાવળથી ઉપડી બપોરે 12:00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. પરત ફરતી ટ્રેન બપોરે 1:00 વાગ્યે ગાંધીગ્રામથી નીકળી રાત્રે 9:00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનથી બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા જેવા વિસ્તારોના મુસાફરોને સીધી સુવિધા મળશે. આ ઉપરાંત, વેરાવળ-જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ (09591/09592) ટ્રેન પણ દોડાવવામાં આવશે. આ ટ્રેનથી તાલાળા, સાસણ ગીર અને વિસાવદર જેવા વિસ્તારોના યાત્રાળુઓને વિશેષ લાભ મળશે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને મુસાફરી કરતા પહેલાં સમયપત્રક તપાસવા, રેલવેના નિયમોનું પાલન કરવા અને સ્ટેશન પર સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. પશ્ચિમ રેલવેનો આ પ્રયાસ મહાશિવરાત્રિ મેળા દરમિયાન યાત્રાળુઓની મુસાફરીને વધુ સુવ્યવસ્થિત અને સુખદ બનાવશે.
ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલી આશુતોષ વિધાલય ખાતે 11 ફેબ્રુઆરી 2026 ના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું લોકાર્પણ શાળાના ટ્રસ્ટી બળદેવસિંહ અમરસિંહ ચુડાસમા અને મનીષાબેન ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો, તેમની સર્જનાત્મકતા વધારવાનો અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો, તેમ ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક મોડેલ્સ અને પ્રયોગો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી. પ્રદર્શન દરમિયાન પાણી સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, અવકાશ વિજ્ઞાન, માનવ શરીર રચના અને ઊર્જા બચત જેવા વિષયો પર આકર્ષક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શાળા પરિવાર, વાલીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમા, મનીષાબેન ચુડાસમા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી. શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને વૈજ્ઞાનિક ચેતના વિકસે છે. સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. કાર્યક્રમની રૂપરેખા શાળાના આચાર્ય યશભાઇ ચાવડાએ આપી હતી અને તમામ શિક્ષકગણે તેમાં ભારે જહેમત ઉઠાવી હતી.
‘ભારત બંધ’નું એલાન:ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો આજે દેશવ્યાપી હડતાળ પર
ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા આજે દેશવ્યાપી ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. વિવિધ મજૂર સંગઠનો અને સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન પર દેશભરમાં મોટા પાયે હડતાળ અને વિરોધ પ્રદર્શન યોજાવાના છે. ચાર નવા લેબર કોડ્સ પાછા ખેંચવા માગમાહિતી મુજબ 10થી વધુ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો આ બંધમાં જોડાઈ રહી છે. મજૂર સંગઠનોનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નવા શ્રમ કાયદાઓ કામદારોના હકોને નબળા પાડે છે. તેઓ ચાર નવા લેબર કોડ્સ પાછા ખેંચવા, નોકરીની સુરક્ષા વધારવા અને કોન્ટ્રાક્ટ પ્રથા પર નિયંત્રણ લાવવાની માગણી કરી રહ્યા છે. સરકારની કેટલીક નીતિઓ ખેડૂતો માટે નુકસાનકારકખેડૂત સંગઠનો પણ આ બંધને સમર્થન આપી રહ્યા છે. ખેડૂતોની માગમાં ખેતી ઉત્પાદનોને યોગ્ય ભાવ, કૃષિ સંબંધિત નીતિઓમાં સુધારા અને ખેતી ક્ષેત્રે વધતી ખર્ચની સમસ્યાનો ઉકેલ સામેલ છે. સંગઠનોનું કહેવું છે કે સરકારની કેટલીક નીતિઓ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. શાળા-કોલેજોમાં કામગીરી પ્રભાવિત થવાની શક્યતાબંધને કારણે બેંકિંગ સેવાઓ, જાહેર પરિવહન, સરકારી કચેરીઓ અને બજારો પર આંશિક અસર પડી શકે છે. કેટલીક જગ્યાએ શાળા-કોલેજોમાં પણ કામગીરી પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવે છે. ભારત બંધના આ આહ્વાનથી સામાન્ય જનજીવન પરદેશના અનેક શહેરોમાં રેલી, ધરણાં અને પ્રદર્શન યોજવાના છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યું છે. ભારત બંધના આ આહ્વાનથી સામાન્ય જનજીવન પર કેટલો પ્રભાવ પડશે તે અંગે નજરો ટકેલી છે.
ખાસ આયોજન:મહાશિવરાત્રિ નિમિત્તે ભાવનગરથી વેરાવળ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધારાની મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ચાર ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે 06.55 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરી તે જ દિવસે સવારે 10.55 વાગ્યે વેરાવળ પહોંચશે. આ જ રીતે, વાપસીમાં ટ્રેન નં. 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ વેરાવળથી બપોરે 15.20 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 20.00 વાગ્યે રાજકોટ પહોંચશે. ભાવનગર–વેરાવળ–ભાવનગર અનારક્ષિત દૈનિક સ્પેશિયલ વેરાવળથી સવારે 06.50 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14.00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09582 ભાવનગર ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.35 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13મીથી 17મી સુધી સંચાલિત રહેશે. વેરાવળ–ગાંધીગ્રામ–વેરાવળ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ વેરાવળથી સવારે 04.00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 12.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09583 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલ ગાંધીગ્રામથી બપોરે 13.00 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સ્ટેશનો પર ઠરાવ કરશે. વેરાવળ–જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ તા.13થી 17 સુધી દોડશે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:જેસર તાલુકાના સનાળા ગામ નજીક બાઇક અકસ્માતમાં બેના કરૂણ મોત
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બેના મોત થયા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જેસર તાલુકાના સનાળા અને રાજપરા ગામ વચ્ચે બે મોટર સાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. બે મોટર સાયકલ વચ્ચેની અકસ્માતમાં બે લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સનાળા અને રાજપરા ગામ વચ્ચેના માર્ગ પર બે બાઈક સવારો સામસામે ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈક સવારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તાત્કાલિક બંનેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બે મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોમાં એક વીરપુર ગામના અને જુનાપાદર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સામસામે અથડાયેલા બંને બાઈક સવારોના મોતથી વીરપુર અને જુનાપાદર ગામ સહિત જેસર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જૂથ અથડામણ થઈ:જમીનના ઝઘડામાં બે જૂથ વચ્ચે શસસ્ત્ર અથડામણ
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે નવાગામથી કનીવાવ જવાના રસ્તે ગઈકાલે રાત્રીના જમીનના ઝગડામાં બે જૂથો વચ્ચે તલવાર, ધારિયા, ધોકા-પાઈપ સહિતના જીવલેણ હથિયારો સાથે ધીંગાણું થયું હતું. જેમાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈને બે શખ્સોને ઝડપી લીધા હતા. જયારે 14 શખ્સો નાસી જતા પોલીસે 16 સામે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે સિહોર પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ શિહોર દાદાની વાવ પાસે નવાગામ કનીવાવ જવાના રસ્તે વરતેજ ખાતે રહેતા શૈલેષભાઈ દિપશંગભાઈ મોરી તથા નવાગામ કનીવાવ ગામના નકુમ પરિવારના લખનસિંહ ભુપતસિંહ નકુમ વચ્ચે પ્લોટની જમીન અંગે સામ સામે બોલાચાલી થઇ હતી. આ મામલે કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવેલ. 112 સ્ટાફ પણ હાજર રહેલ દરમિયાન નવાગામ કનીવાવ ગામ તરફ જવાના રેલ્વે ફાટક બાદ નવાગામ કનીવાવ જવાના રસ્તે અમુક લોકો પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સામ સામે મારા મારી કરતા હોવાની બાતમી મળતા પોલીસ 112 મોબાઇલ ગાડીમા બેસી ઘટના સ્થળે પહોંચી હતી. રેલ્વે ફાટક ક્રોસ કરી નવાગામ કનીવાવ ગામ તરફ જવાના રસ્તે પહોંચતા સ્થળ પર બે જુથના લોકો સામ સામે પોતાના હાથમાં તલવાર, ધારીયા, તથા લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે મારા મારી કરતા હોય અને મોટે મોટેથી બિભત્સ ગાળા ગાળી કરી ત્યા સ્થળ પડેલ ફોર વ્હીલ ગાડીઓના કાચ તોડી નુકસાન કરી રહ્યા હતા. પોલીસની ગાડીના સાયરન વગાડતા તમામ લોકો ભાગવા લાગેલા જે પૈકીના શૈલેષભાઈ દિપશંગભાઈ મોરી (રહે. વરતેજ) અને લખનસિંહ ભુપતસિંહ નકુમ (રહે. નવાગામ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમજ સ્થળ પર ત્રણ ફોર વ્હીલ ગાડી પડેલ હોય જેમાં GJ-04-DN-9278 નંબરની સ્વીફટ ટુકડો ગાડી, GJ-05-JE-4239 નંબરની વેગન આર તેમજ UP-92-A K-9767 નંબરની સ્વીફટ ડિઝાયર ગાડીઓ પડેલ હોય. જેના કાચ તોડી આશરે એક લાખ રૂપિયાનું નુકસાન કરેલ હતુ. આ બનાવ અંગે તમામ સામે ગુજરાત પોલીસ એકટ મુજબનો ગુન્હો નોંધી વધુ સિહોર પોલીસે તપાસ હાથ ધરી ફરાર શખ્સોને જડપવા ચક્રોગતિમાન કર્યા છે. તમામ આરોપી સામે સિહોર પોલીસ ફરિયાદી બનીભાવનગર શહેર જિલ્લામાં અસમાજીક તત્વો વિરૂદ્ધ ભાવનગર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે કનીવાવ ગામ નજીક થયેલી જૂથ અથડામણ માં પણ સિહોર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી, તમામ આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી થાય તેને લઇને સિહોર પોલીસ ખુદ ફરિયાદી બની, આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બોર્ડની પરીક્ષા:ધો. 10-12માં ગેરરીતિની અધૂરી વિગત રાખનારા કર્મચારીને કસૂરવાન ગણાશે
તા. 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12ની બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડ કે બહાર રેતીનો કેસ પકડનારા અધિકારી કર્મચારી કે સ્ક્વોડના સભ્યોએ પોતે જ કેસની તમામ વિગતો તૈયાર કરીને ફાઇલ કરવાની રહેશે. સ્થળ પર પૂરતી કાર્યવાહી નહીં થવાના કારણે જેમ કે વિદ્યાર્થીની વિગત, વિદ્યાર્થીનું નિવેદન, પકડાયેલું સાહિત્ય પર વિદ્યાર્થી અને કેસ કરનારની સહી, નામ સરનામા સાથે ગેરરીતિનો અભ્યાસ કરનારના સ્વયં સ્પષ્ટ રિમાર્ક, રોજકામ વિગેરે સિવાય વિગતો અપૂરતી હોય આખરી નિર્ણય લેવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે ગેરરીતિના કિસ્સામાં કાર્યવાહી નિયમ પ્રમાણે પૂર્ણ ન કરનાર સ્ક્વોડના સભ્ય કે અધિકારી પોતે કસૂરવાન ગણાશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો કેસ કરવાની ખંડ નિરીક્ષકની પ્રાથમિક ફરજ છે. ખંડ નિરીક્ષકે પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા સેન્ટર ખાતે હાજર થવાનું રહેશે અને મોબાઈલ ફોન સ્થળ સંચાલકને સુપ્રત કરવાનો રહેશે. સમય કરતાં વહેલા પેપરનું પેકેટ ખોલશે પોલીસ ફરિયાદગુજરાત બોર્ડની તા.26મીથી લેવાનારી પરીક્ષાના પેપરની સુરક્ષા બાબતે જો કોઈ પણ પ્રિન્સિપાલ કે સિનિયર શિક્ષક બેદરકારી દાખવશે અથવા પરીક્ષામાં નિર્ધારિત સમય કરતાં વહેલા પેપરનું પેકેટ ખોલશે તો તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આટલું જ નહીં, શિક્ષાત્મક પગલાં રૂપે તેમનો એક વાર્ષિક ઇજાફો પણ અટકાવી દેવામાં આવશે. પ્રશ્નપત્ર બે વિદ્યાર્થીઓની સાક્ષીમાં જ ખોલવા પડશેશિક્ષણ બોર્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રશ્નપત્રના પેકેટો સીસીટીવી કેમેરાની નજર હેઠળ અને બે વિદ્યાર્થીઓની સાક્ષીમાં જ ખોલવા પડશે. જો કોઈ ખાનગી સ્કૂલનો શિક્ષક દોષિત જણાશે તો તેને રૂ. 10 હજાર સુધીની પેનલ્ટી ફટકારાશે.
ભરતી:ગુજરાત સરકારમાં ક્લાર્કની ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩માં ગ્રુપ-એમાં 2365 જગ્યાઓ ઉપર તથા ગ્રુપ-બીમાં 3005 ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે કમ્બાઇન્ડ કોમ્પીટીટીવ એકઝામિનેશન (CCE) લેવાનાર છે. આ માટે કોઈ પણ શાખામાં સ્નાતકની ડીગ્રી ધરાવતા 20થી 35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. અહી અનામત વર્ગ તેમજ મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં છૂટછાટ મળવાપાત્ર થશે. અહીં ઉમેદવારોની પ્રિલીમ અને મુખ્ય બે પરીક્ષાઓ લેવામાં આવશે. આ ભરતી અંગેની વિશેષ માહિતી માટે વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળીયા તળાવ, ભાવનગર ઉપર સંપર્ક કરવો. આ માટે ઓનલાઈન અરજીની છેલ્લી 20 ફેબ્રુઆરી છે.
વીજકાપ:શહેરના સીદસર રોડ વિસ્તારમાં આવતીકાલે વીજકાપ રહેશે
PGVCL ભાવનગર સિટી-2 ડિવિઝન દ્વારા વીજળીની લાઈનના અગત્યના કામ સબબ આવતીકાલે તા.13મી ફેબ્રુઆરીને શુક્રવારે સીદસર રોડ ફિડર નીચે આવતા શહેરના સીદસર રોડ પરના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. 11 કે.વી. સીદસર રોડ ફિડર નીચે આવતા સીદસર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, હિલપાર્ક ચોકડી, રાજપથ પાર્ટી પ્લોટ, ઓજ સ્કુલ, સમત્વ સ્કુલની આજુબાજુનો વિસ્તાર, ઇસ્કોન ઈલેવન, સીદસર ગામ, સીદસરથી ચિત્રા રોડ, એસ.એસ. એન્જીનીયરીંગ કોલેજના વિસ્તારોમાં મરામતની કામગીરી દરમિયાન સવારે 7 થી બપોરના 4 સુધી નવ કલાકનો વીજકાપ જાહેર કરાયો છે. PGVCL દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પુનઃ શરૂ કરાશે.
ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તા.12‑13 ફેબ્રુઆરી, ગુરૂ અને શુક્રવાર દરમિયાન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઑન કૅટાલિસિસ ફૉર ઇન્ડસ્ટ્રી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમીનું આયોજન કરી રહ્યું છે. આ બે દિવસીય પરિષદમાં વિશ્વભરના અગ્રણી વૈજ્ઞાનિકો, ઉદ્યોગ નિષ્ણાતો અને શિક્ષણજગતના પ્રતિનિધિઓ એકત્ર થઈને ઉત્પ્રેરણ, સ્થાયી ટેકનોલોજી અને તેના ઔદ્યોગિક તથા પર્યાવરણીય ઉપયોગો પર ચર્ચા કરશે. કોન્ફરન્સના સંયોજક ડૉ. પી. એસ. સુબ્રમણિયનએ જણાવ્યું કે ઉદ્ઘાટન વ્યાખ્યાન પદ્મશ્રી પ્રો. જી. ડી. યાદવ (ICT મુંબઈ) આપશે. ત્યારબાદ પ્રો. અજયન વિનુ (યુનિવર્સિટી ઑફ ન્યૂકાસલ, ઑસ્ટ્રેલિયા) દ્વારા નૅનોપોરસ ફંક્શનલ મટિરિયલ્સ પર અને ડૉ. આર. વી. જસ્રા (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) દ્વારા ઝિયોલાઇટ્સ પર મુખ્ય વ્યાખ્યાન થશે. બે દિવસના સત્રોમાં પદ્મશ્રી પ્રો. શિવરામ સહિત IIT મદ્રાસ, IISc બેંગલોર, NISER ભુવનેશ્વર, ગ્રિફિત યુનિવર્સિટી અને અન્ય અગ્રણી સંસ્થાઓના વૈજ્ઞાનિકો ભાગ લેશે. ડૉ. અંકુશ બિરાદરે જણાવ્યું કે ચર્ચાના વિષયો બાયોમાસ વેલોરાઇઝેશન, CO₂ ઉપયોગ, સ્થાયી જેટ ઇંધણ અને હાઇડ્રોજન ઉત્પાદન માટે ઉત્પ્રેરક ડિઝાઇન જેવા ક્ષેત્રોને આવરી લેશે. આ દરમિયાન સંસ્થાના નિદેશક અને કોન્ફરન્સના સંરક્ષક ડૉ. કન્નન શ્રીનિવાસન વિશેષ વ્યાખ્યાન આપશે તેમ ડૉ. કાંતિ ભૂષણ પાંડેએ જણાવ્યું હતું. ઉત્પ્રેરણ પ્રક્રિયા એટલે શું ?Catalysis જેને ઉત્પ્રેરક ક્રિયા કહેવાય છે. ઉત્પ્રેરણ એટલે એવી પ્રક્રિયા જેમાં કોઈ પદાર્થ રાસાયણિક પ્રતિક્રિયાની ગતિ વધારશે અથવા ઘટાડશે, પરંતુ પોતે પ્રતિક્રિયા બાદ બદલાતો નથી. કોઈ પ્રતિક્રિયા ધીમી ચાલતી હોય, તો તેમાં થોડો ઉત્પ્રેરક ઉમેરો, એ પ્રતિક્રિયા ઝડપથી થઈ જાય! પણ ઉત્પ્રેરક પોતે ખપતો નથી, અંતે ફરી એમનો એમ રહે છે. જેમ કે હાઈડ્રોજન પેરોક્સાઇડ (H₂O₂) તૂટીને પાણી અને ઓક્સિજન બને છે, H₂O₂ → H₂O + O₂ (આ પ્રતિક્રિયા ધીમી છે) પણ જો તેમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ (MnO₂) ઉમેરો તો પ્રતિક્રિયા બહુ ઝડપથી થાય છે એટલે કે આ ક્રિયામાં MnO₂ ઉત્પ્રેરક છે.
વેધર રિપોર્ટ:તાપમાન સામાન્યથી 2.3 ડિગ્રી વધુ રહ્યું
ભાવનગર શહેરમાં બપોર અને રાતના તાપમાન વચ્ચે હજી 12 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ તફાવત રહેતા હોય તેમજ પવનની ઝડપ પણ ઓછી થઇ ગઇ હોય બેવડી ઋતુનો પ્રભાવ શહેરમાં યથાવત રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 18.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે સામાન્ય કરતા હોવું જોઇએ તેનાથી 2.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. આજે સવારે અને સાંજે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. જ્યારે આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા હતુ તે સાંજના સમયે ઘટીને 42 ટકા થઇ ગયુ હતુ. ભાવનગર શહેરમાં હાલ ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે.
જિલ્લાનો આકાશ સાથે સંપર્ક તૂટ્યો:ભાવનગરમાં 8 મહિનાથી હવાઇ કટોકટી
કોઇપણ શહેરના વિકાસ, ઉદ્યોગ-ધંધાના સુચારૂ વ્યવસ્થાપન માટે હવાઇ સેવાની કનેક્ટિવીટી હોવી આવશ્યક હોય છે, પરંતુ ભાવનગર 8 મહિનાથી હવાઇ સેવાથી સદંતર રીતે કપાઇ ગયુ હોવા છતા શેડ્યુઅલ ફ્લાઇટ પુન: કાર્યાન્વિત થઇ શકે તેના માટે સ્પષ્ટ ઉણપ સપાટી ઉપર આવી રહી છે. ભાવનગર-મુંબઇ-પુના-ભાવનગર વચ્ચેની હવાઇ સેવાના વાવટા સ્પાઇસજેટ એરવેઝ દ્વારા ગત જુન મહિનામાં સંકેલી લેવામાં આવ્યા હતા. 8 મહિનાથી ભાવનગર હવાઇ સેવાના નક્શામાંથી નાબૂદ થઇ ગયુ હોવા છતા ભાવનગર હવે ક્યારે હવાઇ સેવાથી પુન: કનેક્ટ થશે તેના અંગે કોઇ ગળું ખોંખારીને કહી શક્તુ નથી. ભાવનગરની હરિફાઇ કરી રહેલા અન્ય જીલ્લાના વડા મથકેથી હવાઇ સેવામાં સતત વધારો થઇ રહ્યો છે જ્યારે ભાવનગર પાસે તો જે હતુ તે પણ છીનવાઇ ગયુ છે. ભાવનગરનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો પણ શહેરની હવાઇ સેવા પુન: કાર્યાન્વિત થઇ શકે તેના માટે 8 મહિનાથી નક્કર પરિણામ લાવવામાં સફળ રહ્યા નથી તે વાસ્તવિક્તા છે. ફક્ત મુંબઇ માટેની જ નહીં, ભાવનગરથી દિલ્હી, પુના, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલોર, જયપુર, અયોધ્યા જેવા હવાઇ રૂટ પણ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ છે. પરંતુ તે દિશામાં પ્રમાણિક પ્રયાસોનો અભાવ સપાટી પર આવી રહ્યો છે. હવાઇ સેવા માટે ઉદ્યોગ ગૃહે આગેવાની લીધીભાવનગરને હવાઇ સેવાથી વંચિત રાખવામાં આવી રહ્યું હોવાથી, કેરીસિલ લિમિટેડ કંપની 8મી માર્ચે મેરેથોન દોડનું આયોજન શહેરમાં કરી રહ્યું છે અને તેને રન ટુ ફ્લાય અભિયાન સાથે સાંકળી અને ભાવનગરની હવાઇ સેવા પુન: શરૂ થાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે કામ પ્રજાના પ્રતિનિધિઓએ કરવા જોઇએ તે કામ ઉદ્યોગ ગૃહ કરી રહ્યું છે.
વિરોધનો વંટોળ:સરકારની નીતિના વિરોધમાં આજે શ્રમિકોની હડતાલ
આવતી કાલ તા.12 ફેબ્રુઆરીને ગુરૂવારે સમગ્ર ભારતના શ્રમિક વર્ગે એક દિવસીય મહા હડતાલનું આહવાન કર્યું છે જેમાં દેશના 10 મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે આ હડતાળને સમર્થન આપ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી છે. તેઓ સરકારના 'કોર્પોરેટ' તરફી નિર્ણયો અને ખાનગીકરણનો સખત વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામીણ ભારતની જીવાદોરી સમાન 'મનરેગા' યોજનાને ફરીથી મજબૂત કરવાની અને બજેટ વધારવાની માંગ પણ છે. આ હડતાલમાં એલઆઇસી ઇન્ડિયા, ભાવનગર ડિવિઝન, ચાર જિલ્લા ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદની 11 શાખાના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ હડતાલમાં જોડાશે. 12 ફેબ્રુઆરીને ગુરૂવારે સવારે 10 કલાકે એલઆઇસી, નિલમબાગ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવશે. આવતી કાલ તા.12 ફેબ્રુઆરીની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાવનગર સહિત ગુજરાતની તમામ લેબર કોર્ટો અને ટ્રીબ્યુનલ જડબેસલાક બંધ રહેશે. જ્યારે આંગણવાડી અને આથા વર્કરો હજારોની સંખ્યામાં રજા રિપોર્ટ ભરીને સમર્થન આપશે તથા રેલીઓમાં ભાગ લેશે. ભાવનગરમાં તા. 12 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે વિશાલ રેલી મોતીબાગથી નીકળશે તથા ઘોઘાગેટ ભગતસિંહ ચોક પાસે માનવસાંકળ યોજી સુક્રોચાર કરશે તેમ સી આઈ ટી યુ મહેતા તથા જિલ્લા મંત્રી અશોકભાઈ સોમપુરાએ જણાવ્યું છે. તા.12 તારીખે યોજાનાર હડતાલમાં લાખો કામદારો બેંક કર્મચારીઓ વીમા ક્ષેત્રના કર્મચારીઓ ઇલેક્ટ્રિક ક્ષેત્રના કર્મચારીઓ મેડિકલ રેપ્રેઝન્ટેટિવ ઇન્કમટેક્સ સહિતના કામદાર કર્મચારીઓ જોડાશે. કર્મચારીઓની મુખ્ય માગણીઓઆ રેલીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ચાર લેબર કોડ રદ કરો, તમામને 26,000 લઘુતમ વેતન આપો, ઓછામાં ઓછું 10,000 પેન્શન આપો, આંગણવાડી આશા સહિતના તમામ સ્કીમ વર્કરોને કાયમી કરી લઘુતમ વેતન આપો, મનરેગાનો કાયદો ફરી અમલમાં લાવો, વીજળી સુધારા બિલ 2025 પાછું ખેંચો, સહિતની માગણીઓ કરાશે. LICમાં 29 વર્ષમાં કર્મચારીની સંખ્યામાં 50 ટકાની ઘટએલઆઇસીમાં વર્ષ 1995ની તુલનામાં 2024 સુધીમાં વર્ગ-3 અને 4ના કર્મચારીઓની 50 ટકા ઘટી થઇ ગઇ છે. પ્રતિ કર્મચારી 631 પોલીસી હતી તેમાંથી હવે વધીને 3552 પોલીસીનું ભારણ થઇ ગયું છે. અનેક રજૂઆત છતાં કોઇ ભરતી કરવામાં આવી નથી. જેથી પ્રમોશન, બદલી, કેશિયર જેવા અનેક પ્રશ્નો વિકટ થયા છે તેમ એલઆઇસી એમ્પ્લોઇઝ યુનિ.ના સેક્રેટરી કમલેશ ભટ્ટે જણાવ્યું છે. કેન્દ્ર સરકાર વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણની છૂટ આપવા જઇ રહી છે. સાથે સરકાર એલઇઆસીમાં પોતાના હિસ્સાનું હજુ વધુ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઇરાદો ધરાવે છે.
આશા ઉજળી બની:સૌરાષ્ટ્ર કક્ષાની મેચ સાથે ભાવનગરના ક્રિકેટ નક્શામાં નવી સવલતનો આજથી પુન: પ્રારંભ
સૌરાષ્ટ્રના ક્રિકેટમાં ભાવનગરના ખેલાડીઓનો દરેક વયજૂથમાં દબદબો રહે છે, પરંતુ ક્રિકેટ ગ્રાઉન્ડની ઉણપ સ્પષ્ટ રીતે વર્તાઇ રહી હતી. હવે ભાવનગરમાં ક્રિકેટ નક્શામાં વધુ એક સવલતનો ગુરૂવારથી સત્તાવાર રીતે આરંભ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની રણજી ટ્રોફીની ટીમની પસંદગી માટેની મુખ્ય ગણાતી જયહિંદ ટ્રોફી ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની ભાવનગર રૂરલ ક્રિકેટ એસોસિએશન અને બોટાદ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમો વચ્ચે પ્લેટ ગ્રુપ-એની ત્રિ-દિવસીય લીગ મેચ ગુરૂવારથી ભાવનગરના રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવાની છે. મેચની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યુ છે. રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટની અત્યાધુનિક સગવડતાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, અને બાળકોને ક્રિકેટની નિયમીત તાલીમ માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભાવનગરમાં સર ભાવસિંહજી ક્રિકેટ કલબનું એકમાત્ર ક્રિકેટ મેદાન ઉપલબ્ધ હજુસુધી હતુ જ્યાં સૌરાષ્ટ્ર સ્તરની ક્રિકેટ મેચોના આયોજનો થઇ શકે છે, યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ પૂર્ણ કદનું છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ પણ મેદાન જર્જરીત અવસ્થામાં ગરકાવ થયેલું છે. હવે રેલવે ખાતે નવી એક ક્રિકેટ સવલત શરૂ થઇ છે. વર્ષ 1994 બાદ ભાવનગરમાં એકપણ રણજી ટ્રોફી મેચોના આયોજન થઇ શક્યા નથી તેની પાછળ પણ પૂર્ણ કદનું અને બીસીસીઆઇના નિયમો મુજબનું ક્રિકેટ મેદાન ઉપલબ્ધ નહીં હોવાનું મુખ્ય કારણ છે. વધુ સવલતથી ક્રિકેટરોને ફાયદો થશેભાવનગરમાં ક્રિકેટની વધુ સવલતો ઉપલબ્ધ થશે તેના કારણે જીલ્લાના ક્રિકેટને ફાયદો થશે. ક્રિકેટ ક્ષેત્રે ખેલાડીઓ પ્રેક્ટિસ ઉપરાંત સતત મેચો રમતા રહે તો તેઓની કારકિર્દી પર સકારાત્મક અસર પડે છે. હવે રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નવી સવલત ઉપલબ્ધ થતા વધુ મેચોના આયોજનો શક્ય બની શક્શે. - સંદીપ મણીયાર, પસંદગી સમિતીના ચેરમેન ચેરમેન, સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમ
કરંટથી યુવકનું મોત થયું:ક્રિભકોમાં યુવકનું કરંટ લાગ્યા બાદ મોત નીપજ્યું
હજીરા સ્થિત ક્રિભકો કંપનીમાં 30 ફૂટ ઊંચા ટાવર પર કામ કરતી વખતે કરંટ લાગ્યા બાદ નીચે પટકાતા યુવાન ઇલેક્ટ્રિશયનનું મોત નીપજ્યું હતું. ઓલપાડના મીંઢી ગામના રહેવાસી 24 વર્ષીય અક્ષય દિપક પટેલ હજીરા ખાતે આવેલી ક્રિભકો કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ઇલેક્ટ્રિશયન તરીકે કામ કરતા હતા. બુધવારે તેઓ ક્રિભકો કંપનીમાં યુરિયા પ્લાન્ટમાં 30 ફૂટ ઊંચા ટાવર પર લાઇન બદલવાની કામગીરી કરતા હતા. દરમ્યાન કરંટ લાગતા તેઓ 30 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયા હતા. આ ઘટનાની જાણ કંપનીમાં અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને થતા તેઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. ઘવાયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઇચ્છાપોર પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ફેશન શોનું આયોજન કરાયું:ફેશન શો ઓડિશનમાં 5થી 50 વર્ષના પાર્ટિસિપન્સે ભાગ લીધો
પીપલોદ સ્થિત ઇસ્કોન મોલમાં IFA વર્લ્ડ દ્વારા ‘ફેશન અવોર્ડ વર્લ્ડ સીઝન-4’ના ઓડિશનનું આયોજન કરાયું હતું. જેમાં 5 વર્ષના બાળકોથી લઈને 50 વર્ષથી વધુ વયના પાર્ટિસિપન્ટ્સે પણ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાના સ્ટાઇલ, ડ્રેસ અને આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરી દર્શકો અને જજિસનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત ઘણા પાર્ટિસિપન્ટ્સે રેમ્પવોક સાથે પોતાનું ટેલેન્ટ પણ શો-કેઝ કર્યું હતું.
આંતર કોલેજ ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું:સ્પર્ધકોએ વિવિધ ચિત્રો દોરી તેમાં કલાત્મક રંગપૂર્તિ કરી
પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સે કોલેજના એલ્યુમની એસોસીએશનના સહયોગથી આંતર કોલેજ ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કોલેજનાં રમણીય ગાર્ડનમાં, પ્રકૃતિ અને સંગીતના સ્વરોનાં સાનિધ્યમાં, કોલેજના આચાર્ય, એલ્યુમની એસોસીએશનના આગેવાનો તથા કોલેજના સ્ટાફમિત્રોની ઉપસ્થિતિમાં શહેરની વિવિધ કોલેજનાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનો વિષય ભારતની સંસ્કૃતિ અને વારસો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ભારતના લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્યો, વાધો, તહેવાર, વૈજ્ઞાનિક વિકાસ અને ભવિષ્યના ભારતની છબી જેવા વિવિધ વિષયોને આવરી લેતાં ચિત્રો દોરી અને તેમાં કલાત્મક રંગપૂર્તિ કરીને સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો.
ફ્લાવર શો:21 પ્રકારના 70 હજાર ફૂલોથી મહેંકી ઉઠ્યો ફ્લાવર શો
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા હજીરા સ્થિત એએમએનએસ ટાઉનશીપમાં પ્રકૃતિપ્રેમીઓ માટે રંગો અને સુગંધનો અદભુત મહોત્સવનું આયોજન કરાયું છે. 18મી ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફ્લાવર શોએ સમગ્ર વિસ્તારને વસંતોત્સવની છટાથી મહેકાવી દીધો છે. ટાઉનશીપના તાડ ઝુલા ખાતે અંદાજીત 2 એકર વિસ્તારમાં ફેલાયેલ આ પ્રદર્શને 21 પ્રકારના 70 હજારથી વધુ રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે. મેરીગોલ્ડ, પિટુનિયા, ડાયનાથસ, ગઝાનિયા, ગેરેનિયમ, કેલેન્ડુલા, સાલ્વિયા, સેલોસિયા, જીનિયા, સ્ટોક, અંતિર્રહિનમ, ક્રિસેન્થેમમ, દાહલીયા, વીન્કા, ફ્લોક્સ, એસ્ટર, સિલ્વર ડસ્ટ, એલીસમ સહિતના ફૂલોની અદભુત સજાવટ મુલાકાતીઓ માટે દ્રષ્ટિ અને મન બંનેને મોહી લે તેવી બની છે. રંગોની અનોખી સમરસતા અને ડિઝાઇનિંગથી તૈયાર કરાયેલા આ ગાર્ડન સેલ્ફી અને ફોટોગ્રાફી માટે આકર્ષણ બન્યું છે. રાત્રે આકર્ષક લાઇટિંગથી તે “ગ્લો ગાર્ડન” બની જાય છે. ટાઉનશીપ ઉપરાંત આસપાસના વિસ્તારોના નાગરિકો માટે ફ્લાવર શો વિનામૂલ્યે ખુલ્લો મુકાયો છે. આ ભવ્ય આયોજન માટે ઓક્ટોબર મહિનાથી જ તૈયારીઓ શરૂ કરાઇ હતી. 60થી વધુ ગાર્ડનર, કાર્પેન્ટર, પેઈન્ટર અને સુપરવાઈઝર્સે સતત મહેનતથી છોડ રોપ્યા, જાળવણી કરી અને સુંદર લેઆઉટ તૈયાર કર્યા છે. માર્ચ સુધી ફૂલોની આ રંગીન છટા યથાવત રહેશે.
રાજકોટના અમીન માર્ગ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની 50 વર્ષ જૂની ટેનામેન્ટ યોજના આજે વિવાદનું કેન્દ્ર બની છે. આ યોજના હેઠળ અપાયેલા મકાનોમાં જમીનની કિંમત હાલ કરોડોમાં છે. અહીં અનેક પરિવાર 40-50 વર્ષથી મકાનોમાં વસવાટ કરે છે, પરંતુ સમયની થપાટો વચ્ચે મકાનો હવે અતિ જર્જરિત અને ખખડધજ હાલતમાં આવી ગયા છે. રહેવાસીઓ જ્યારે પોતાના સ્વખર્ચે મકાનનું રિનોવેશન કે નવું બાંધકામ કરવા માટે મનપાની ટી.પી. શાખામાં પ્લાન પાસ કરાવવા જાય છે ત્યારે હાઉસિંગ બોર્ડની શરત સામે આવે છે. બોર્ડ દ્વારા એવી શરત મૂકવામાં આવે છે કે, જ્યાં સુધી જમીન ફ્રીહોલ્ડ કરવામાં ન આવે, ત્યાં સુધી નવા પ્લાન મંજૂર કરવામાં આવશે નહીં. આ ફ્રીહોલ્ડ પ્રક્રિયા માટે વર્તમાન જંત્રી દર મુજબ મકાન દીઠ રૂપિયા 1 કરોડ જેવી જંગી રકમ ભરવી પડે તેમ હોવાથી અનેક લોકો મોતની છાયા સમાન આ મકાનમાં રહેવા મજબૂર છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇજનેરે ફતવો બહાર પાડ્યોઆ અંગે છેલ્લા ત્રણ વર્ષથી અનેક રજૂઆતો કરી ચૂકેલા સ્થાનિક અશોકભાઈ કામદારે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડનાં ટેનામેન્ટ ધારકોનો મુખ્ય પ્રશ્ન છે કે, સરકારની વર્ષ 2019ની જે પોલિસી છે, તેમાં જમીનને ફ્રીહોલ્ડ કરવાની 5 શરતો રાખવામાં આવી છે. જોકે તેમાં મકાનમાં રિનોવેશન કરવા માટે જમીન ફ્રીહોલ્ડ કરવી તેવી કોઈ વાત જ નથી પરંતુ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇજનેરે ફતવો બહાર પાડ્યો છે. જેને લઈ અમારા મકાનોના રિનોવેશન કરવા માટેના પ્લાન પાસ કરવામાં આવતા નથી. અમે CMથી લઈને PMO સુધી રજૂઆત કરી છેઅમે RTI કરી જેમાં સુરત, અમદાવાદ, તેમજ બરોડામાં આવી કોઈ જોગવાઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને શહેરી વિકાસનાં અધિકારીઓ ઉપરાંત મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી. એટલું જ નહીં રાજકોટનાં ત્રણેય ધારાસભ્યોને સાથે રાખીને અમે મુખ્યમંત્રીને મળીને રૂબરૂ રજુઆત કરવા છતાં સમસ્યા દૂર કરવામાં આવતી નથી. જેને લઈને PMOમાં પણ અમે રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, આપની ડબલ એન્જીન સરકાર મધ્યમ વર્ગના લોકોને હેરાન કરી રહી છે ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ અમે કરી છે. 50-60 વર્ષ જૂના મકાનમાં જીવનું જોખમ છતાં રિનોવેશન કરવા દેતા નથીગુજરાત હાઉસિંગ બોર્ડે જે જમીન માત્ર 50 પૈસામાં ખરીદી હતી, તેના હાલ વર્તમાન જંત્રી પ્રમાણે 35,000 માંગવામાં આવી રહ્યા છે. જેને કારણે પ્રતિ મકાન કુલ રૂપિયા 1 કરોડ ભરવા પડે તેમ છે. જે કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. અમારા મકાનો 50-60 વર્ષ જુના થયા છે તેમાં રહેવામાં જીવનું જોખમ છે છતાં અમને રિનોવેશન કરવા દેવામાં આવતું નથી. અમારી પાસેથી અગાઉ જ જમીનનાં અને ક્વાર્ટરનાં રૂપિયા વસૂલી લેવામાં આવ્યા છે. આ અન્યાય અને દાદાગીરી છે. શહેરી વિકાસ અને હાઉસિંગ બોર્ડનાં અધિકારીઓ મળેલા અને ભળેલા છે. જીવના જોખમે ખખડધજ મકાનોમાં રહેવાનો વારો આવ્યોઅગાઉ અનેક લોકોએ મકાનોમાં ફેરફાર કરાવી નાખ્યો છે. તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી અમારી સામે જ થાય છે. મનપાની ટી.પી. શાખા અમારા પ્લાન મંજૂર કરતી નહીં હોવાથી અમારે નાછુટકે જીવના જોખમે ખખડધજ મકાનોમાં રહેવાનો વારો આવ્યો છે. અમે પ્લાન પાસ કરવા માટે નિયમોમાં છૂટાછાટની માગણી કરી છે પણ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કે ઈજનેરો કોઈ પ્રત્યુતર આપતા નથી. આ મકાનો બન્યા ત્યારથી અમે રહીએ છીએ અમારા ટેનામેન્ટોની હાલત બગડી ગઈ છે અને રિપેરીંગ માટે મંજૂરી માંગવામાં આવે ત્યારે સરકાર દ્વારા ફ્રી હોલ્ડ માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે. મકાનધારકો પાસેથી અધિકારીઓ લાખો રૂપિયા લઈ રહ્યા હોવાનો આરોપકેટલાક લોકોને તેમના મકાનમાં રહેવું અશક્ય હોવાથી મંજૂરી વગર પણ રીનોવેશન કરવું પડી રહ્યું છે. આવા મકાનધારકો પાસેથી અધિકારીઓ લાખો રૂપિયા લઈ રહ્યા હોવાનો મારો ખુલ્લો આરોપ છે. તેમજ અમારી માંગ છે કે, તાત્કાલિક આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી અમે ફ્રીહોલ્ડ કરાવ્યા વિના મકાનો રીનોવેટ કરાવી શકીએ. અને મોતના ભયમાં જીવવું પડે નહીં. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. જેને લઈને PMOમાં કરેલી રજૂઆતનું 17 ફેબ્રુઆરીનાં રોજ હિયરિંગ થવાનું છે. જેમાં આ મામલે અમારા હિતમાં નિર્ણય આવશે એવી અમને આશા છે. વધારાની ફી હટાવી અમને રીનોવેશન માટેની મંજૂરી આપવામાં આવેહિમાક્ષીબેન ગગલાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું અહી 50 વર્ષથી રહુ છું. હાલમાં અમારા મકાનો જર્જરિત થઈ ચૂક્યા છે, તેમાં ઉધઈનો પણ પ્રોબ્લેમ છે. જેને લઈને રિનોવેશન કરવું અત્યંત જરૂરી છે. અહીં ઉપર અને નીચેની માલિકી અલગ-અલગ હોવાથી બે ભાગ પાડવાની મંજૂરી પણ અમે માંગીએ છીએ. આ માટે વધારાની જે ફી લગાવવામાં આવી છે તે જરાપણ યોગ્ય નથી. આ કારણે હાઉસિંગ બોર્ડમાં મકાનોના કોઈ સોદા પણ થતા નથી. ત્યારે વધારાની ફી હટાવી લઈને અમને રીનોવેશન માટેની મંજૂરી આપવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. મકાનો ગમે ત્યારે પડી જાય તેવી પણ શક્યતા છેદિવ્યેશભાઈ પારેખ નામના સ્થાનિકે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું 25 વર્ષથી રહું છું. પણ આ મકાનો 50 વર્ષ જુના અને ખૂબ જર્જરિત હાલતમાં છે. અંદર ઉધઈ એટલી છે કે મકાનો ગમે ત્યારે પડી જાય તેવી પણ શક્યતા છે. જો રીનોવેશન નહીં કરવામાં આવે તો કોઈ દુર્ઘટના થાય તેવી પણ પૂરતી શક્યતા છે. અમે ગત તા. 29 નવેમ્બરનાં રીનોવેશનની મંજૂરી આપવા અરજી કરી હતી. જેનો એક મહિના પછી જવાબ આવ્યો છે. તેમાં પણ માત્ર અરજી આગળ વધારી છે તેવો જવાબ હતો. અત્યારે મકાનોની હાલત અતિ જર્જરિત હોવાથી અહીં તાત્કાલિક રીનોવેશનની મંજૂરી આપવામાં આવે તેવી અમારી માંગ છે. આ માટે જરૂરી જંત્રી મુજબની રકમ ભરવા પણ અમે તૈયાર છીએ. રાજકોટ માટે નહીં આખા રાજય માટે આ પોલિસી છે : હાઉસિંગ બોર્ડરાજકોટ જ નહિ પણ આખા રાજ્ય માટે એકસરખા નિયમને પરિપત્ર હોવાનું હાઉસિંગ બોર્ડનાં અધિકારીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, બધા જ મકાનો ટેનામેન્ટ સ્વરૂપના છે તેના માટે ફ્રીહોલ્ડ જમીન કરાવવી જરૂરી છે. અત્યારે અમે જંત્રી પ્રમાણે પૈસા લઈએ છીએ. ખરેખર તો જમીનોની કિંમત ખુબ વધી ગઈ છે છતાં જંત્રીદરે જ પૈસા વસૂલાય છે. રાજકોટ, અમદાવાદ,સુરત સહિત તમામ સ્થળે હાઉસિંગ બોર્ડ બનાવેલા ટેનામેન્ટ છે ત્યાં મકાનોના પ્લાન પાસ કરાવતા પહેલા જમીન ફ્રી હોલ્ડ કરાવવાની પોલિસી લાગૂ છે. આ રીતે પૈસા ભરપાઈ કરનારને ફ્રીહોલ્ડ કરી આપવામાં આવે છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર નવી પોલિસી જાહેર કરશે : MLA દર્શિતા શાહધારાસભ્ય દર્શિતા શાહે આ મામલે દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ધારકો દ્વારા રિનોવેશન કરવાની મંજૂરી માટે રજુઆત કરવામાં આવી હતી. જેમનું પોતાનું મકાન છે અને રિનોવેશન કરવું હોય તેને ફ્રીહોલ્ડ કરવામાં આવે તેવી રજુઆત હતી. તેમનો આ પ્રશ્ન લઈ અમે બધાને સાથે રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રભારી જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસનાં અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ પ્રશ્ન માત્ર રાજકોટ નહીં પરંતુ અમદાવાદ, બરોડા, સુરત સહિત ગુજરાતના તમામ શહેરોમાં આ પ્રશ્ન છે. સરકાર આ બાબતમાં લોકોની વાત સાથે સહમત છે, આ માટેની પોલિસી પણ તૈયાર કરાઈ રહી છે. જે ટૂંક સમયમાં જાહેર થતા હાઉસિંગ બોર્ડના મકાનધારકોનો પ્રશ્ન હલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાઉસિંગ બોર્ડે બનાવેલી આવાસ યોજના પૈકી સૌથી જૂની અમીન માર્ગની આ ટેનામેન્ટ યોજનાની હાલત બદતર થવા લાગી છે. 50 વર્ષ જૂની આવાસ યોજનામાં જમીનની કિંમત કરોડોમાં છે પણ તેની ઉપરના મકાનોની ખખડધજ હાલત તેમાં રહેનારાઓ માટે જોખમ ઊભું કરનારી બની રહે છે. પારિવારિક મકાન માટે કરોડો રૂપિયા ક્યાંથી ભરવા? આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, અમુક હજારમાં ખરીદેલા આ પારિવારિક મકાન માટે કરોડો રૂપિયા ક્યાંથી ભરવા? અમારે કઈ મકાનો વેચવાના નથી. રહેવા માટે મકાન બનાવવાના છે અને આમ છતા તેના પ્લાન પાસ કરવામાં આવતા નથી. જોકે ધારાસભ્ય દર્શીતાબેન શાહે સમગ્ર મામલે સરકાર ગંભીરતાથી વિચારી રહી હોવાનું તેમજ ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા નવી પોલિસી જાહેર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે ત્યારે આ નવી પોલિસી ક્યારે આવે છે તે જોવું રહ્યું.
સુમુલ ડેરીની ચૂંટણી સાબરકાંઠા દૂધ મંડળીના કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે જ યોજવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી)ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજવા સીમાંકન મતદાનની પેટર્ન અંગે પક્ષકારોને સાંભળી તમે નિર્ણય લેવાના છો ત્યારે સુમુલ ડેરીની ચૂંટણી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ વિરુદ્ધ પટેલ પંકજ કુમાર અને અન્યોના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ જ યોજવામાં આવે એવી રજૂઆત છે. તાલુકા બેઠક મુજબ ઉમેદવારોને ચૂંટવાની પેટર્ન સામે વાંધા અરજી રજૂ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઝોન દીઠ 1-1 વોટ અને પ્રાથમિક દૂધ મંડળીના દરેક સભાસદ 16-16 મત આપી શકે છે. જો નવા સીમાંકનમાં બેઠકો વધે તો એ મુજબ દરેક પસંદગીના ઉમેદવારોને સભાસદો મત આપી શકે છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો માત્ર સુમુલ ડેરી નહીં, પરંતુ રાજ્યની તમામ ડેરી સંઘને લાગુ પડે છે. પણ અત્યાર સુધી કોઈ સભાસદે એનો અમલ કરતી માંગ કરી ન હોવાથી તાલુકા દીઠ એક બેઠક માટે તાલુકાની મંડળીઓના મતદારો જ મતદાન કરે છે. જો તાલુકા મુજબ મતદાન પેટર્ન નક્કી થાય તો નવા બનેલા તાલુકા અડાજણ, અબ્રામા, ઉકાઇ, અંબિકા અને અરેઠ તાલુકાની દૂધ મંડળીઓને પણ ઉમેદવારીનો અધિકાર આપવો પડે. સુમુલ ડેરીમાં હાલ વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે અને સિમાંકનને લઈને કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવારો ચૂંટણી વહેલી થાય તેની રાહ જોઈ રહ્યા છે.
યુવતીએ જીવાદોરી કાપી:કતારગામમાં યુવતીનો ફાંસો ખાઈ આપઘાત
કતારગામમાં એક યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. યુવતીએ કયા કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. કતારગામ સાંઈ રેસીડેન્સી ખાતે રહેતાં 33 વર્ષીય અલ્પાબેન ભીમાભાઈ મોરી ઓનલાઈન વેપાર કરતાં હતાં અને બહેન સાથે રહેતા હતા. મંગળવારે રાત્રે અલ્પાબેને પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે અલ્પાબેને ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. પોલીસે સંબંધીઓના નિવેદન નોંધ્યા હતા.
છેતરપિંડી:મર્સિડીઝ કારના રૂ. 20 લાખ નહીં ચૂકવી જમીન દલાલ સાથે છેતરપિંડી
સાબરકાંઠાના જમીન દલાલને સુરતમાં રહેતા પરિચિતની મર્સિડીઝ કાર વેચવાનું ભારે પડ્યું હતું. કાર દલાલે સુરતથી વાયદા પર કાર ખરીદીને બારોબાર વેચી દઇને રૂ.20 લાખની ઠગાઇ કર્યાનો બનાવ મહિધરપુરા પોલીસમાં નોંધાયો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠાને હિંમતનગર રાજશિવ સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહ ભાટી વાહન અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાબરકાંઠાના તલોદ તાલુકાના અંજાણાગામ પ્રજાપતિવાસમાં રહેતા અરવિંદ રમણ પ્રજાપતિ પણ કાર દલાલીનું કામ કરતો હોવાથી તેની સાથે પરિચય હતો. જુન 2025માં અરવિંદે તેના પાસે પ્રિમિયમ કાર હોય તો જણાવવા કહ્યું હતું. જેથી નરેન્દ્રસિંહે સુરત રહેતા તેના પરિચિત આદેશ દેવકુમારની મર્સિડીઝ કાર વેચવાની હોવાનું કહ્યું હતું. બાદમાં બંને જણા તા.26-6-2025ના રોજ સુરત દિલ્હીગેટ ચાર રસ્તા પાસે આવ્યા હતા. જ્યાં આદેશ કાર લઇને આવ્યા હતા. કાર જોઇને અરવિંદે રૂ. 20 લાખમાં દર મહિને રૂ.5 લાખ લેખે ચાર હપ્તામાં પૈસા આપવાની શરત સાથે સોદો નક્કી કર્યો હતો. જેના બદલામાં તેણે ચાર ચેક પણ આપ્યા હતા. જ્યારે ચેકની પાકતી તારીખે નરેન્દ્રસિંહે અરવિંદ પ્રજાપતિ પાસે પેમેન્ટ માંગતા તેણે વાયદા કર્યા હતા. કાર પરત માગી તો તે પણ આપવાની ના પાડીનરેન્દ્રસિંહને શંકા જતા તેણે તપાસ કરી તો અરવિંદે આ કાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા રડોગરા ગામમાં રહેતા મિલાપ વિનુભાઇ પટેલને વેચી દીધી હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે નરેન્દ્રસિંહે મિલાપને ફોન કરીને કાર પરત માંગતા તેણે કાર આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે નરેન્દ્રસિંહે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અરવિંદ પ્રજાપતિ અને મિલાપ પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
જૂનાગઢની ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઊજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે ‘મિની કુંભ’ તરીકે આસ્થાભેર શરૂ થયો છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ ભારતભરમાંથી આવેલા હજારો નાગા સાધુઓ અને અઘોરીઓ છે. હાથમાં ચિલમ, શરીર પર ભભૂત અને લાંબી જટાઓ સાથે જ્યારે ‘હર હર મહાદેવ’નો જયઘોષ કરે છે, ત્યારે ભાવિકો એક અલગ જ દિવ્યતાનો અનુભવ કરે છે. લોકો માટે આ સાધુઓ કુતૂહલનો વિષય છે, પરંતુ વાસ્તવમાં આ સાધુઓની દુનિયા સામાન્ય માનવીના વિચાર કરતાં ઘણી ભિન્ન અને રહસ્યમય છે. નાગા સાધુઓ અને અઘોરીઓની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરવા માટે દિવ્ય ભાસ્કર મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યું હતું. જ્યાં પહોંચતાની સાથે જ ધૂણી ધખાવી અલખની આરાધના કરતા નાગા સાધુઓને જોઈ લાગે કે આ અઘોરીઓ અને નાગા સાધુઓની એક અલગ દુનિયા છે. શરીરે ભસ્મ, ગળામાં રુદ્રાક્ષની માળાઓ, લાંબી જટા અને ચમકતી આંખોમાં જાણે કે શિવની ભક્તિ સમાયેલી હોય તેવી અનુભૂતિ થાય છે. નાગા સાધુઓની વાત કરવામાં આવે તો તેઓ વાસ્તવમાં સનાતન ધર્મના રક્ષક અને શિસ્તબદ્ધ સૈનિકો માનવામાં આવે છે. તેમનું જીવન ગુરુની સેવા અને કઠિન સાધનાથી શરૂ થાય છે. નાગા સાધુ બનવાની પ્રક્રિયા અત્યંત જટિલ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સંસારનો મોહ ત્યાગી અખાડામાં જોડાય છે, ત્યારે ગુરુ સૌપ્રથમ તેની કસોટી કરે છે. 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય અને શિસ્તનું પાલન કર્યા બાદ જ તેને દીક્ષા આપવામાં આવે છે. શાહી સ્નાન અને શોભાયાત્રા સંગઠિત શક્તિનું પ્રતીકઆ સાધુઓ શાકાહારી અને સાત્વિક જીવન જીવે છે. તેઓ ભલે નગ્ન અવસ્થામાં રહેતા હોય, પરંતુ શારીરિક તપસ્યા અને યોગ દ્વારા તેમણે પોતાની ઇન્દ્રિયો પર પૂર્ણ વિજય મેળવેલો હોય છે. તેઓ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેમાં નિપુણ હોવાનું માનવામાં આવે છે. કુંભના મેળામાં તેમનું શાહી સ્નાન અને શોભાયાત્રા એ તેમના સંગઠિત શક્તિનું પ્રતીક છે. અઘોરી સાધુઓની દુનિયા સંપૂર્ણપણે રહસ્યમય અને એકાંતપ્રિયબીજી તરફ, અઘોરી સાધુઓની દુનિયા સંપૂર્ણપણે રહસ્યમય અને એકાંતપ્રિય હોય છે. અઘોરીઓ સ્મશાનને જ પોતાનું ઘર માને છે અને જનમેદનીથી દૂર રહીને ભગવાન શિવના 'અઘોર' સ્વરૂપની ઉપાસના કરે છે. તેમના માટે દુનિયામાં કશું જ અપવિત્ર નથી. તેઓ સ્મશાનમાં રહીને તંત્ર-મંત્રની સાધના કરે છે અને માનવ ખોપરીમાં ભોજન ગ્રહણ કરે છે. અઘોરીઓ કાળા વસ્ત્રો ધારણ કરે છે અને સ્મશાનની રાખને જ પોતાનો શ્રૃંગાર માને છે. તેઓ એવી વસ્તુઓનું સેવન કરે છે જે સામાન્ય માનવી વિચારી પણ ન શકે, જેમ કે માસ, મટન અને મદિરા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જીવન અને મૃત્યુ વચ્ચેના ભેદને મિટાવવાનો અને શિવમય બનવાનો હોય છે. અઘોરીઓ એકલા અને નાગા સાધુ સંગઠીત થઈને અખાડામાં રહે છેનાગા સાધુઓ અને અઘોરીઓમાં એક મુખ્ય તફાવત એ છે કે નાગા સાધુઓ સંગઠિત અખાડાઓમાં રહે છે, જ્યારે અઘોરીઓ કોઈ પણ બંધન વિના એકલા સાધના કરે છે. નાગા સાધુઓ સાર્વજનિક કાર્યક્રમો અને કુંભ જેવા મેળાઓમાં અગ્રીમ ભૂમિકા ભજવે છે. જ્યારે અઘોરીઓ ગુપ્ત રીતે સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં માને છે. જગદ્દગુરુ મહેન્દ્ર નંદગીરી મહારાજના શિષ્ય પ્રકાશાનંદગીરી મહારાજે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે મેં 2021માં હરિદ્વારમાં દીક્ષા લીધી હતી. જ્યાં અમારા સોળે સંસ્કાર કરી હરિદ્વારમાં વૈદિક દીક્ષા લીધી હતી. જેથી હું બર્ફાની કહેવાવ છું. ન માનવ યોની કે ન મૃત્યુ યોની અમે ભૂત યોનીમાં કહેવાય: પ્રકાશાનંદગીરી મહારાજઅખાડાઓના નીતિ નિયમો અને ચુસ્ત પાલન હેઠળ અમારા ગુરુજી અને અખાડાના વરિષ્ઠ સાધુ સંતોની ઉપસ્થિતિમાં દીક્ષા આપવામાં આવે છે. દીક્ષા ગ્રહણ કર્યા બાદ અમે ન માનવ યોની કે ન મૃત્યુ યોની અમે દીક્ષા બાદ ભૂત યોની એટલે કે શિવના ગણ કહેવાય. ગુરુને યોગ્ય લાગે ત્યારે નાગા સાધુની દીક્ષા અપાય છેનાગા સાધુ બનવા માટે સૌપ્રથમ મહાપુરુષની ભૂમિકા ભજવવાની હોય છે. જેમાં ગુરુની સેવા કર્યા બાદ સંપૂર્ણપણે અસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન ધારણ કર્યા બાદ ગુરુને યોગ્ય લાગે ત્યારે નાગા સાધુની દીક્ષા આપવામાં આવે છે. નાગા સાધુ બન્યા બાદ રાષ્ટ્રપ્રેમ, સનાતન હિંદુ ધર્મ અને સંસારમાં વધુમાં વધુ ધર્મનો પ્રચાર થાય તેવા રાષ્ટ્રહિતના તમામ કાર્યો એક નાગા સાધુએ કરવાના હોય છે. ગુરુના આદેશ મુજબ રાષ્ટ્ર પર જ્યારે પણ કોઈપણ મુસીબત આવે કે હિન્દુ ધર્મ પર કોઈ સંકટ આવે ત્યારે નાગા સાધુઓ દેહ બલિદાન દેવા પણ તૈયાર હોય છે.ઘણા નાગા સાધઓ પરિભ્રમણ પણ કરતા હોય છે. હિન્દુ ધર્મ અને સનાતનનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેવા તમામ કાર્યો નાગા સાધુઓ દ્વારા કરવામાં આવે છે. અઘોરીઓ સ્મશાનમાં જ ભગવાન શિવની પૂજા કરે છેનાગા સાધુઓના ઘણા ગુરુ ભાઈઓ હોય છે જેને ગુરુની આજ્ઞા મુજબ સંગઠિત થઈ હિન્દુ ધર્મ અને સનાતનને વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેવા કાર્યો કરવાના હોય છે. ત્યારે બીજી તરફ અઘોરીઓ સ્મશાનમાં જ ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે અને એકાંતમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. અઘોરીની એકાંતમય સાધના અને તપસ્યા હોય છે. જેને લઇ અઘોરીઓ પોતાનો મોટાભાગનો સમય સ્મશાનમાં જ વિતાવે છે. જ્યાં તે તંત્ર, મંત્ર અને વિદ્યાની તપસ્યા કરે છે. અઘોરીઓ કેમ ઝડપથી ગુસ્સે થઈ જાય છે?અઘોરીના ઝડપથી ગુસ્સે થવા અંગે કહે છે કે, અઘોરીઓમાં તમસ ખૂબ હોય છે કારણ કે તેનું અગ્નિચક્ર એટલે કે આજ્ઞા ચક્ર સતત જાગૃત હોય છે. કડકડતી ઠંડીમાં પણ અઘોરીઓ કે નાગા સાધુઓને ઠંડી લાગતી નથી. હિમાલયમાં પણ જપ-તપ કરે છે. તેનામાં અગ્નિચક્ર શ્રેષ્ઠ હોય છે. પોતાની ભ્રકુટીમાં અગ્નિ તત્વ જ્યારે ખુલે છે ત્યારે તેના શરીરમાં સતત અગ્નિ એટલે કે દેહમાં આગ જ પ્રવર્તવા લાગે છે. અઘોરીઓ અને નાગા સાધુઓ શિવના ગણ છે. શિવ ઉત્પત્તિ એટલે કે જેમાં રજો ગુણ ,તમો ગુણ અને સમો ગુણ શ્રેષ્ઠ હોય છે. જેનાથી તેનામાં તામસ ખૂબ હોય છે અને ઝડપથી ગુસ્સે થઈ જાય છે. અઘોરીઓ જપ યોગ અને તપ યોગ કરે છેનાગા સાધુઓમાં અને અઘોરીઓમાં ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ અને ચિંતન, મનન તેમજ જપ, તપ અને તપસ્યાનું ખૂબ જ ઊંડુ જ્ઞાન હોય છે. અઘોરીઓ જપ યોગ અને તપ યોગ કરે છે. સમાધિમાં તલ્લીન થઈ નાભિમાંથી અમરકંટક એટલે કે કપાળના આભામંડળમાં તેને લઈ જવામાં આવે છે અને તે સમયે શરીર સ્થિર થાય છે. ઘણા ઋષિમુનિઓ એવા પણ છે જે ધ્યાન મુદ્રામાં વર્ષો સુધી મગ્ન બની રહે છે. આજ સાધનાનો એક ભાગ છે. અઘોરીઓ વર્ષો સુધી યોગ દ્વારા જ સિદ્ધિ મેળવી હોય છેકાળી વિદ્યાની જો વાત કરવામાં આવે તો તે લોકોની માન્યતા છે, કારણ કે કાળી વિદ્યા જેવું આમ જોઈએ તો કંઈ હોતું નથી. પરંતુ તેને કાળી વિદ્યા કહેવાના બદલે જપ અને સાધના કહેવું વધુ યોગ્ય છે. કારણ જે નાગા સાધુઓ કે અઘોરીઓ પોતે તપસ્યા કરે છે, જપ કરે છે . તે માટેની તાકાત છુપાયેલી હોય છે કારણ કે વર્ષો સુધી યોગ દ્વારા જ સિદ્ધિ મેળવી હોય છે. જૂનાગઢના આ ભવનાથ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ જ્યારે આ સાધુઓના દર્શન કરે છે, ત્યારે તેમને સાક્ષાત્ શિવની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે. ધૂણીની રાખ, રુદ્રાક્ષની માળાઓ અને ચમકતી આંખો ધરાવતા આ સાધુઓની દુનિયા ભલે સામાન્ય લોકો માટે વિચિત્ર હોય, પરંતુ તેમની ભક્તિ અને તપસ્યા જ આજે હિન્દુ ધર્મના મૂળિયાં મજબૂત કરી રહી છે. આ સાધુઓ માત્ર મેળા પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ સનાતન સંસ્કૃતિના એવા સ્તંભો છે જે અનાદિકાળથી ધર્મનું રક્ષણ કરતા આવ્યા છે અને કરતા રહેશે.
ચાલતી-ફરતી સ્કૂલ:ભીખ માંગતા બાળકોને સિગ્નલ સ્કૂલના પ્રોજેક્ટથી કલમ-પુસ્તક આપી ભણાવાશે
શહેરના ચાર રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માંગતા બાળકો માટે પાલિકાએ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ માટે ₹40 લાખના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે. ચાઈલ્ડ-ફ્રેન્ડલી બસ બનશે જ્ઞાનનું ધામ આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે બાળકોને શાળાએ જવાની જરૂર નહીં પડે, શાળા બાળકો પાસે જશે. ખાસ ચાઈલ્ડ-ફ્રેન્ડલી બસમાં સ્માર્ટ એજ્યુકેશન પેનલ અને અત્યાધુનિક કોમ્પ્યુટર સિસ્ટમ, બાળકોને આકર્ષે તેવું શૈક્ષણિક ઈન્ટીરિયર, ભણતરની સાથે મનોરંજન અને રમત-ગમતનાં સાધનો. શહેરમાં અનેક બાળકો એવા છે જેમણે ક્યારેય શાળાનું પગથિયું ચઢ્યું નથી અથવા અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે. પાલિકા દ્વારા 6 થી 14 વર્ષના આવા બાળકોનો સર્વે કરવામાં આવશે. તેમને નિશ્ચિત સ્થળેથી બસમાં લાવી અક્ષરજ્ઞાન અને બ્રિજ કોર્સ કરાવાશે. ત્યારબાદ તેમને મ્યુનિસિપલ શાળામાં કાયમી પ્રવેશ અપાશે. ભોજનની વ્યવસ્થા,આરોગ્યની તપાસભોજન અને આરોગ્યની પણ કાળજી, માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ આ બાળકોના સર્વાંગી વિકાસ માટે બસમાં જ મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. સમયાંતરે બાળકોની આરોગ્ય તપાસ થશે અને તેમને પ્રોત્સાહક ઇનામો આપી શિક્ષણ પ્રત્યે રુચિ જગાડવામાં આવશે. શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં હાલ 2 લાખ વિદ્યાર્થીઓ છે, ત્યારે આ પ્રોજેક્ટથી શાળા બહારના બાળકોનો આંકડો શૂન્ય પર લાવવાનો લક્ષ્ય છે.
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી ભયાનક પ્લેન ક્રેશ ઘટનાને આજે 8 મહિના પૂરા થયા છે. સમય ભલે આગળ વધી ગયો હોય, પરંતુ ઘટનાસ્થળનો માહોલ આજે પણ ડરામણો છે. અતુલ્યમ બિલ્ડિંગના ચારેય ટાવર આજે પણ કાળા ભેંકાર દેખાઈ રહ્યા છે. દીવાલો પર આગના નિશાન સ્પષ્ટ દેખાય છે અને આખું પરિસર એક અજાણી શાંતિમાં ડૂબેલું લાગે છે. જે જગ્યાએ એક સમય વિદ્યાર્થીઓના હાસ્ય અને રોજિંદા જીવનની ચહલપહલ હતી, ત્યાં આજે ભયનો માહોલ અનુભવે છે. 8 મહિના પછી પણ આ બિલ્ડિંગો જાણે તે ભયાનક બપોરની સાક્ષી આપી રહી હોય તેમ લાગે છે. પ્લેન ક્રેશને 8 મહિના પૂર્ણ થવા નિમિત્તે દિવ્ય ભાસ્કર જે અતુલ્યમ બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું ત્યાં પહોંચ્યું હતું. જ્યાં જઈને જોયું તો કાળમુખો સમય જાણે થંભી ગયો છે અને વેરાન ભાસી રહ્યો હતો. હાલમાં ચારેય બિલ્ડિંગને પતરાના શેડથી સંપૂર્ણ રીતે ઢાંકી દેવામાં આવ્યા છે. દરેક એન્ટ્રી ગેટ બંધ છે, ગેટ પર લોખંડના શીટ લગાડવામાં આવ્યા છે જેથી કોઈ અંદર ન જઈ શકે. છતાં પણ જે દીવાલ પ્લેન ક્રેશ દરમિયાન તૂટી ગઈ હતી, ત્યાંથી અંદર નજર કરીએ તો હૃદય કંપાવી દે એવા દ્રશ્યો આજે પણ જોવા મળે છે. પાનાઓ વચ્ચેના શબ્દો હવે અધૂરા…અંદર હજુ પણ અનેક વસ્તુઓ બળેલી હાલતમાં જ પડી છે. પુસ્તકો બળી ગયા છે, પરંતુ તેમની રાખ વચ્ચે પાનાંઓના શબ્દો આજે પણ અધૂરા સપનાઓની યાદ અપાવે છે. સ્ટડી ટેબલ, ખુરશીઓ, પલંગ, ગાદલા, રમકડાં, ફોટો ફ્રેમ, ટીવી, ફ્રીઝ, એસી, પંખા અને કિચનનો સામાન-બધું જ ખાક થઈ ગયું છે. કપડાં, બુટ અને ચપ્પલ પણ બળી ગયેલી હાલતમાં જ જોવા મળે છે. હવે આ બધી વસ્તુઓ છે પણ અફસોસ કે તેનો વપરાશ કરનારા રહ્યા નથી. આ બિલ્ડિંગોમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના સપનાઓ સાથે અહીં વસતા હતા. કોઈ ડોક્ટર બનવા માગતું હતું. તો કોઈ ડોક્ટર બનીને પ્રેક્ટિસ કરી રહ્યું હતું. પોતાના પરિવારથી દૂર રહીને જીવનનું નવું અધ્યાય લખી રહ્યો હતો. પરંતુ 12 જૂનની એ ભયાનક બપોરે બધું જ પળવારમાં બદલાઈ ગયું. આજેય ત્યાં જતાં એક અજાણી ધ્રુજારી અનુભવે છેઆગ અને ધડાકાના ગડગડાટ વચ્ચે અનેક જીવ ખોવાઈ ગયા અને અનેક સપનાઓ રાખ બની ગયા. આજેય ત્યાં જતાં એક અજાણી ધ્રુજારી અનુભવે છે. શાંતિ વચ્ચે જાણે એ દિવસની ચીસો હજુ પણ ગુંજતી હોય તેવી લાગણી થાય છે. 'પળવાર માટે બધું સ્થિર થઈ ગયું'આ ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા રશ્મિન ચૌહાણ એ દિવસે પોતાના કામસર શાહીબાગ તરફ જઈ રહ્યા હતા. બપોરનો સમય હતો. એફએસએલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી તેઓ લગભગ અડધો કિલોમીટર આગળ વધ્યા હશે ત્યારે અચાનક મોટો ધડાકો સંભળાયો. શરૂઆતમાં તેમને સમજાયું નહીં કે શું થયું છે. ધડાકો એટલો મોટો હતો કે પળવાર માટે બધું સ્થિર થઈ ગયું. થોડી જ સેકન્ડોમાં તેમને અંદાજ આવ્યો કે કદાચ કોઈ પ્લેન ક્રેશ થયું હશે. ‘એ ક્ષણો જીવનની સૌથી ભયાનક ક્ષણો હતી’રશ્મિનભાઈ જણાવે છે કે એ ક્ષણો જીવનની સૌથી ભયાનક ક્ષણો હતી. કારના કાચ તૂટી ગયા, આસપાસ આગની જ્વાળા અને ધુમાડા હતા. તેઓ તરત જ ગાડી રિવર્સ કરીને ત્યાંથી નીકળી ગયા અને સીધા ઘરે પહોંચ્યા. એ દિવસે માણસોને સળગતા જોયા હતા. જે દ્રશ્યો જીવનભર ભૂલી શકાય એવા નથી. એક કીટલીવાળા ભાઈનો નાનો દીકરો ખાટલા પર સૂતો હતો અને તેની ઉપર સળગતા અવશેષો પડતા જોયા હતા. એ યાદો આજે પણ તેમને હચમચાવી દે છે.તેઓ પોતાના બચાવને ભગવાનની કૃપા માને છે અને કહે છે કે ભગવાનનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આજે પણ લોકો તેમને “પ્લેનમાં બચેલા ભૈયા” તરીકે ઓળખે છે. 'કેટલાક લોકો આ દ્રશ્યો જોઈને બેભાન પણ થઈ ગયા'આ ઘટનાના અન્ય એક સાક્ષી ગોવર્ધનભાઈ છે, જે ઘટના પછી પાંચથી સાત મિનિટમાં જ સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓ જણાવે છે કે ઘટનાસ્થળે પહોંચતા જ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા. આગ, ધુમાડા અને લોકોની ચીસો વચ્ચે બચાવ કામગીરી શરૂ થઈ ગઈ હતી. ગોવર્ધનભાઈ અને અન્ય સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સમાંથી લાશો કાઢીને સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. મેં 35 થી 40 લાશો ઉંચકી હતી. લાશોની હાલત એટલી ખરાબ હતી કે કોઈ પણ જોઈને હચમચી જાય. કેટલાક લોકો આ દ્રશ્યો જોઈને બેહોશ પણ થઈ ગયા હતા. શરૂઆતમાં આસપાસના રહીશોને લાગ્યું કે કદાચ બોમ્બ બ્લાસ્ટ થયો છે, કારણ કે ધડાકો એટલો પ્રચંડ હતો. ‘લોકો રાત્રે આ રસ્તા પરથી પસાર થવાનું ટાળે છે’નજીકમાં જ રહેતા અનિલકુમા કહે છે કે 8 મહિના પછી માહોલ થોડો સામાન્ય થયો છે, પરંતુ રાત્રિના સમયે હજુ પણ ડર અનુભવાય છે. લોકો રાત્રે આ રસ્તા પરથી પસાર થવાનું ટાળે છે. એ દિવસે લાખોની ભીડ ઉમટી પડી હતી અને બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી હતી. કાળા ધુમાડા આકાશ સુધી ઊઠતા હતા અને સમગ્ર વિસ્તાર ભયના માહોલમાં ઘેરાઈ ગયો હતો. શરૂઆતમાં તેમને લાગ્યું હતું કે કદાચ 60,000 KV પાવર લાઇનનો ધડાકો હશે, પરંતુ પછી ખબર પડી કે આ તો બહુ મોટું અકસ્માત છે. ‘ચારે તરફ ચીસો, રડવાનો અવાજ’અનિલકુમાર જણાવે છે કે તેઓ અને અન્ય લોકોએ અંદર જઈને બાળકોને બહાર કાઢ્યા હતા. રસ્તો બનાવીને એમ્બ્યુલન્સને મોકલવામાં સહાય કરી હતી. ચારે તરફ ચીસો, રડવાનો અવાજ અને ગભરાટનો માહોલ હતો. આજે પણ જ્યારે તેઓ એ દિવસ યાદ કરે છે, ત્યારે હૃદય ભારે થઈ જાય છે. તેઓ કહે છે કે રાત્રે ક્યારેક એ દ્રશ્યો આંખ સામે આવી જાય છે અને એક અજાણી ભીતિ અનુભવાય છે. જો કે હકીકતમાં હવે કોઈ અવાજ આવતો નથી, પરંતુ માનસિક અસર આજે પણ જીવંત છે. કાળી દીવાલો અને બળેલી વસ્તુઓ તે ભયાનક બપોરની સાક્ષી સાત મહિના પછી પણ અતુલ્યમ બિલ્ડિંગની કાળી પડેલી દીવાલો અને બળેલી વસ્તુઓ તે ભયાનક બપોરની સાક્ષી બનીને ઊભી છે. સમય ઘા પર મલમ લગાવે છે એવું કહેવાય છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે સમય સાથે પણ ભૂંસાતી નથી. ‘અનેક પરિવારોના સપનાઓને પણ રાખ બનાવી દીધા’આ પ્લેન ક્રેશે માત્ર બિલ્ડિંગો જ નહીં, પરંતુ અનેક પરિવારોના સપનાઓને પણ રાખ બનાવી દીધા. આજે પણ તે વિસ્તારથી પસાર થનાર દરેક વ્યક્તિ માટે આ સ્થળ એક મૌન સ્મારક સમાન બની ગયું છે. જે યાદ અપાવે છે કે એક પળમાં જીવન કેવી રીતે બદલાઈ શકે. આ ઘટના માત્ર એક દુર્ઘટના નહોતી; તે અનેક પરિવાર માટે જીવનભરનો ઘાવ છે. બચી ગયેલા લોકો માટે એ દિવસ ફરી ફરીને યાદોમાં જીવંત થઈ ઊઠે છે. સ્થાનિક લોકો માટે આ વિસ્તાર આજે પણ શાંત હોવા છતાં અંદરથી ચીસો પાડતો હોય એમ લાગે છે. સાત મહિના પછી પણ પ્રશ્નો અને પીડા યથાવત છે. કાળી દીવાલો, બળેલા સામાન અને નિર્જન માહોલ – બધું જ એ દિવસની કહાની કહે છે, જેને સમય પણ ભૂંસી શક્યો નથી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જેલ... આ શબ્દ સાંભળતા જ ભલભલાની આંખોના ભવાં ઊંચા થઇ જાય, ધબકારા વધી જાય અને મનમાં એક પ્રકારનો ભય તથા નકારાત્મક છબી ઊભી થાય. જો કે હકીકતમાં જેલ એ કેદીઓ માટેનું સુધારણા કેન્દ્ર છે. જ્યાં તે પોતાના ગુનાનું પ્રાયશ્ચિત કરે અને મુક્ત થયા પછી ફરી આવો ગુનો કરતા અટકીને એક સભ્ય નાગરિક બને. જ્યારે કોઇ કેદી જેલની એ ચાર દીવાલો અને લોખંડના સળિયા પાછળની અંધારી દુનિયામાં જાય છે ત્યારે તે ઘણીવાર ગુનાખોરીની દુનિયાનો મોટો ખેલાડી બનીને બહાર આવે છે. સુધરવાને બદલે તે કુખ્યાત ગુનેગારો પાસેથી ગુનાની નવી કળાઓ શીખીને આવે છે. જેના કારણે સામાન્ય આરોપી પણ રીઢો ગુનેગાર બની જાય છે. આ જ કારણોસર લોકોએ જેલને ક્રિમિનલ યુનિવર્સિટીનો ટેગ આપી દીધો છે પણ હવે અમદાવાદ સેન્ટ્રલ જેલે યુવા કેદીઓ માટે અલગ બેરેક ઊભી કરીને એક નવી પહેલ કરી છે. આ પહેલથી યુવા કેદીઓ રીઢા ગુનેગાર બનતા અટકશે. 18 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને જેલમાં રાખવામાં આવે છે. જ્યારે તેનાથી નાની વયના કિશોરોને બાળ સુધારણા કેન્દ્ર (ચિલ્ડ્રન રિમાન્ડ હોમ)માં રાખવામાં આવે છે. જેલોમાં જેમને સજા ફટકારવામાં આવી હોય તેવા કેદીઓને પાકા કામના કેદી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જેમની સામે કોર્ટમાં કેસ ચાલુ હોય અથવા ટ્રાયલ શરૂ થવાની બાકી હોય તેમને કાચા કામના કેદી કહેવાય છે. કેદીઓની મિત્રતા બહાર જઇને ગેંગનું સ્વરૂપ ધારણ કરે છેકેદીઓને અલગ અલગ રાખવા શક્ય ન હોવાથી આ કેદીઓને એક બેરેકમાં સાથે રાખવામાં આવતાં હોય છે. આમાં નાના-મોટા ગુનાના આરોપીથી માંડીને અઠંગ ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. જેના કારણે તેઓ પરસ્પર એકબીજાના સંપર્કમાં આવે છે અને તેમની વચ્ચે મિત્રતા કેળવાય છે. આ મિત્રતા બહાર જઇને પણ ચાલુ રહેતાં ગેંગનું સ્વરૂપ ધારણ કરે છે. તેમાં પણ સામાન્ય ગુનામાં પ્રથમવાર જેલમાં આવેલા યુવાનો કુખ્યાત ગુનેગારોના સંપર્ક અને પ્રભાવમાં આવીને રીઢા ગુનેગાર બની જતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. જોકે જેલમાં રહીને ઘણા લોકો સુધરે પણ છે અને પોતાના પગ પર ઊભા રહીને નવું જીવન જીવવા લાગે છે. યુવા કેદીઓ માટે નવી બેરેક ઊભી કરાઇઅમુક લોકો કુખ્યાત ગુનેગારોની સંગતના કારણે વધુ ખતરનાક બની જાય છે. અમદાવાદ મધ્યસ્થ જેલ ઓથોરિટીએ આ ગંભીર બાબતને ધ્યાને લઇ યુવાનો અઠંગ ગુનેગારોના સંપર્કમાં આવીને ગુનેગાર ન બને તે હેતુથી 18થી 24 વર્ષની વય ધરાવતા કેદીઓ માટે અલગ બેરેક ઊભી કરી એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે. યુવા કેદીઓને સેપરેટ બેરેકમાં રાખવામાં આવે છે. એક મહિના પહેલા જ આ અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જેમાં હાલ આશરે 330 જેટલા કેદીઓને રાખવામાં આવ્યા છે. જેલમાં L આકારની નવી બેરેક પણ બની રહી છે. જેની ક્ષમતા 1080 કેદીઓની હશે. તેની સાથે અન્ય 3-4 બેરેક પણ બની રહી છે. જેમાં 100 જેટલા કેદીઓ રહી શકશે. આમ અંદાજે 1200 કેદીઓ માટે વધારાની સુવિધા ઊભી થશે. જેલના ઓવરક્રાઉડિંગની સમસ્યા નિવારવા આ પગલું લેવાયું છે, જે 2-3 મહિનામાં તૈયાર થઇ જશે. આ અંગે વધુ માહિતી મેળવવા દિવ્ય ભાસ્કરે અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડન્ટ ગૌરવ અગ્રવાલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, અમદાવાદ મધ્યસ્થ જેલમાં 6 બેરેક છે. દરેક બેરેકમાં 50થી વધુ કેદીઓને રાખવાની સુવિધા છે. તે રીતે અમે 330 કેદીઓને રાખ્યા છે. બાકીના 18થી 24 વયના કેદીઓનું ધ્યાન રાખવામાં આવે છે કે તેમને રીઢા ગુનેગારોની બેરેકમાં ન રાખવામાં આવે. જે ગુનો કરવાની આદતવાળા છે તેવા કેદીઓથી દૂર એકાદ ગુનો કરીને આવ્યા હોય તેવા પ્રકારના કેદીઓ સાથે રાખવામાં આવે છે. ગૌરવ અગ્રવાલ વધુમાં જણાવે છે કે, 18થી 24 વર્ષની ઉંમરના કેદીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. ઘણીવાર પોક્સો અથવા સામાન્ય મારામારી જેવા ગુનામાં આવતા કેદીઓ ડિપ્રેશનનો શિકાર બની જાય છે. વળી, આ ઉંમર ખૂબ જ પ્રભાવિત થઇ જવાની હોય છે. જો તેઓ રીઢા ગુનેગારોના સંપર્કમાં આવે તો નવા પ્રકારના ગુનાઓ શીખવાની પૂરેપૂરી શક્યતા રહે છે. 'અમારો ઉદ્દેશ્ય હંમેશા કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન તરફ જવાનો છે, જેથી યુવાનો જેલમાંથી નવો ક્રાઇમ શીખીને જવાને બદલે બહાર નીકળીને સમાજમાં હકારાત્મક યોગદાન આપી શકે.' જેલોમાં અત્યારે બેકરી પ્રોડક્ટ્સથી માંડીને ફર્નિચર અને ફરસાણ જેવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કેદીઓને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકારે સરકારી વિભાગોને જેલના કેદીઓ દ્વારા બનાવાતી વસ્તુઓ ખરીદવાની ખાસ સૂચના અપાઇ છે. જેલમાં તાલીમ મેળવીને કેદી મુક્ત થયા બાદ પોતાની રોજીરોટી રળી શકે તે માટે વિવિધ સુધારણા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. 'જેલ બહાર નીકળીને મોટા ગુનેગાર બનેલા હોય તેવા કોઇ આંકડા નથી'અમે સવાલ કર્યો કે હાલ એવા કેટલા ગુનેગારો છે જે જેલમાંથી બહારની નીકળીને કુખ્યાત બની ગયા હોય? આ અંગે તેમણે કહ્યું કે જેલમાંથી બહાર નીકળીને મોટો ગુનેગાર થઇ ગયો હોય તેવા કોઇ કેસ કે સંખ્યા અમારી પાસે નથી કે તેનું નામ જણાવી શકાય. પરંતુ કેદીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. એક જાણીતી વાત છે કે જેલને ક્રાઇમ યુનિવર્સિટી કહેવામાં આવે છે. જેલમાં કોઇ આવે છે અને ત્યાંથી શીખીને જાય છે. તેને ધ્યાનમાં રાખીને જ આ કરવામાં આવ્યું છે. અત્યારે અમારી પાસે ફેક્ટ્સ એન્ડ ફિગર્સ નથી કે આ રીતે કેટલાં લોકો ગુનેગાર બન્યાં છે. બહાર ગેંગસ્ટર બન્યાં છે કે ક્રિમીનલ ગેંગમાં સામેલ થયાં હોય. કેદીઓ ડિપ્રેશનમાં હોય તો તેમના માટે કાઉન્સેલિંગવધુમાં તેઓ કહે છે કે, કેદીઓના કાઉન્સેલિંગ માટે અમે રક્ષા શક્તિ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે. જો કોઇ કેદી ડિપ્રેશનમાં હોય કે તેને સાયકોલોજિકલ સમસ્યા હોય તો RRUનો સ્ટાફ જેલમાં આવીને કાઉન્સેલિંગ સેશન લે છે. તેઓ કેદીઓ સાથે વાતચીત કરી સમસ્યાનું નિરાકરણ લાવે છે. જોકે ડિપ્રેશનવાળા કેદીઓની કોઇ ચોક્કસ સંખ્યા નથી પરંતુ જ્યારે પણ આવો કિસ્સો ધ્યાને આવે ત્યારે તાત્કાલિક RRU ને સોંપવામાં આવે છે. હાલ જેલના છોટા ચક્કરમાં ચાર નવી બેરેક પણ બનાવવામાં આવી રહી છે. જ્યાં 100 કેદીઓ રહી શકે તેટલી ક્ષમતા રહેશે. આ બનાવવા પાછળનું કારણ જણાવતાં ગૌરવ અગ્રવાલે વધુમાં કહ્યું કે, જેલની કેપેસિટી વધારવામાં આવે. હાલ જેલમાં ઓવરક્રાઉડિંગનો ઇસ્યૂ છે. તેના કારણે ઘણીવાર આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા થવાની સંભાવના રહે છે તેવા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે બેરેક બનાવવામાં આવી રહી છે.
અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે ધોલેરામાં બની રહ્યું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ. આ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાથી કોને ફાયદો થશે. એરપોર્ટની ખાસિયતો શું છે. જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને મેળવો એક ઝલક.
છેવાડાના અને મધ્યમ વર્ગની વસ્તી ધરાવતા લિંબાયત-ગોડાદરા વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર હવે ઘરઆંગણે જ ખુલવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ટી.પી. સ્કીમ નં. 69 (ગોડાદરા-ડીંડોલી)માં ડિસ્ટ્રિક્ટ સેન્ટર હેતુ માટે અનામત રાખેલી અંદાજે 31,415 ચોરસ મીટર જમીન સરકારી કોલેજના નિર્માણ માટે ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમીનની કિંમત અને અદલાબદલીનું ગણિત જિલ્લા મૂલ્યાંકન સમિતિના નવા રિપોર્ટ મુજબ, આ જમીનની કિંમત પ્રતિ ચોરસ મીટર રૂા.74,800 લેખે અંદાજે 235 કરોડ આંકવામાં આવી છે. આ કિંમતી જમીન સામે રાજ્ય સરકાર મનપાને અન્ય વિસ્તારોમાં તેટલી જ રકમની સરકારી પડતર જમીનો આપશે. જેમાં આ નવી કોલેજ બનવાથી લિંબાયત વિસ્તારના વિદ્યાર્થીઓને આર્ટ્સ, કોમર્સ કે સાયન્સના અભ્યાસ માટે અન્ય વિસ્તારોમાં લાંબા ધક્કા ખાવા નહીં પડે અને વાજબી ફીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થશે. ત્રિપક્ષીય કરાર કરાશેટીપી 79 (સુલતાનાબાદ-ભીમપોર), ટીપી 50 (ભાઠા-બેટ), બમરોલીની જમીનો MoUની તૈયારી આ પ્રોજેક્ટ માટે પાલિકા, કલેક્ટર કચેરી અને કોલેજના આચાર્ય વચ્ચે ત્રિપક્ષીય કરાર કરાશે. આ પ્રક્રિયામાં 2.60 કરોડનો ખર્ચ (સ્ટેમ્પ ડ્યુટી સહિત) શિક્ષણ વિભાગ ઉઠાવશે.
નોકરી ન્યુઝ:NCLમાં 270 આસિ. ફોરમેનની જગ્યા ભરાશે, 47 હજાર પગાર
નૉર્ધન કોલફીલ્ડ્સ લિમિટેડ (NCL) દ્વારા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ET વિભાગમાં કુલ 270 પદો ભરવામાં આવશે. 10મું પાસ અને સંબંધિત એન્જિનિયરિંગ ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ માટે પાત્ર ગણાશે. વયમર્યાદા 18થી 30 વર્ષ છે. પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. 47,330 બેઝિક પગાર અને અન્ય ભથ્થાં મળશે. પસંદગી કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટના આધારે કરાશે 5 માર્ચ સુધી અરજી કરી શકાશે. આ વિભાગ માટે જગ્યા આ રીતે અરજી કરો
ભાસ્કર ઇમ્પેક્ટ:વોકવેને એક સપ્તાહ બંધ કરી સ્ટ્રક્ચરની મરામત શરૂ કરાઈ
અઠવા રિવરફ્રન્ટ સ્થિત ફ્લડ ગેટ પાસે ભૂવા પડવા મુદ્દે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બુધવારે પાલિકાની ટીમે સ્થળ નિરીક્ષણ કરતાં જણાયું હતું કે આઉટલેટનું તળિયું ભરતીના પાણીથી ધોવાઈને ધસી પડ્યું છે. પાઇપ લાઇનને નુકસાન થાય તે પહેલાં મરામત શરૂ કરાઈ છે. જોકે હાઇટાઇડને ધ્યાનમાં રાખીને ઊંચાઈ કેમ ન વધારાઈ તે સવાલ છે.
ભાસ્કર એક્સક્લુસિવ:જુહુથી સુરત આવતા હેલિકોપ્ટરનું કેળવે રોડ ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ
મુંબઈના જુહુથી સુરત તરફ આવવા નીકળેલા એક ખાનગી હેલિકોપ્ટરમાં મધ્ય આકાશમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા પાલઘરના કેળવે રોડ ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઈજનેરની સમયસૂચકતાથી જાનહાની ટળી હતી. બપોરે અંદાજે 12:30 વાગ્યે ઉડાન દરમિયાન હેલિકોપ્ટરની સિસ્ટમમાં ‘રેડ લાઈટ’ ઝબકતા પાયલટે જોખમ પારખી લીધું હતું. પાયલટે સમયસૂચકતા વાપરી કેળવે રોડ સ્થિત વિદ્યાવૈભવ હાઈસ્કૂલના મેદાનમાં હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર પાયલટ, કો-પાયલટ અને એન્જિનિયર સહિત ચારેય વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ટેક્નિકલ સ્ટાફે હેલિકોપ્ટરની ખામી દૂર કરી હતી. અંદાજે 45 મિનિટ સુધી મેદાન પર રોકાયા બાદ, સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટરને સુરત લાવવાને બદલે જુહુ સ્થિત મુખ્ય મથકે પરત લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. સફાળે પોલીસના જણાવ્યા અનુસાર, પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
મતદાર યાદી સુધારણા પછી સુરતમાં ચૂંટણીનું ગણિત જ ઉલટાઈ જવાની સ્થિતિ બની છે. આ કાર્યક્રમ પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ છે, જેમાં જિલ્લામાં કુલ 48.73 લાખ મતદારોમાંથી 13.19 લાખ નામો રદ થઈ જતાં સરેરાશ 27 ટકા મતદાર કપાઈ ગયા છે, જેની પાછળ બે મુખ્ય કારણો છે, માઇગ્રન્ટ મતદારોએ સુરતમાંથી નામ કમી કરી વતનમાં રાખ્યા છે તો ઘણા મતદારો સ્થળાંતર થઈ ગયા છે. પરિણામે એપ્રિલમાં યોજાનારી મ્યુનિ.ની ચૂંટણીમાં હાર-જીતનાં ગણિત બદલાઈ જશે. વિધાનસભામાં ભાજપની સરસાઈ વધુ છે પણ મ્યુનિ.ની ચૂંટણીમાં 4 ઉમેદવારો વચ્ચે મતો વહેંચાતા હોવાથી સીધી અસર થશે. ખાસ કરીને ઉધના, કરંજ, વરાછા અને લિંબાયતમાં તો 40 ટકા સુધી મતદારો કપાઈ ગયા છે. રાજકીય પાર્ટીઓ નવા મતદારોની નોંધણી પ્રક્રિયા શરૂ કરશેમતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામો કપાતાં રાજકીય પક્ષો હવે નુકસાન સરભર કરવા માટે મેદાનમાં ઉતર્યા છે, જેમાં બૂથ લેવલ સંપર્ક, ઘરે-ઘરે કેમ્પેઇન અને નવા મતદારોની નોંધણી પર ખાસ ફોકસ મૂકવામાં આવી રહ્યો છે. યુવા અને માઇગ્રન્ટ વર્ગને જોડવા માટે સંગઠન તંત્ર વધુ સક્રિય બન્યું છે. આગામી સમયમાં રાજકીય પક્ષો નવા મતદારોને ઉમેરવા પ્રયાસો શરૂ કરશે. બૂથ મેનેજમેન્ટ, નવી નોંધણી, ગ્રાઉન્ડ કનેક્ટિવિટી પર ફોકસ જરૂરીઉધના, કરંજ, વરાછા અને લિંબાયત બેઠકોમાં પરંપરાગત મતદાન પેટર્ન ખોરવાઈ શકે છે. અહીં મોટાભાગે શ્રમિકો, વારંવાર સ્થળાંતર કરનારા વસે છે, જેથી કેટલીક પાર્ટીઓની મજબૂત ગણાતી વોટબેંકને સીધી અસર થશે. અગાઉ હજારો મતોથી જીતતી બેઠકો હવે ટક્કરભરી બનશે. જો કે, માંડવી, મહુવા અને માંગરોળમાં 10 ટકા જ ઘટાડો હોવાથી મોટા ફેરફારની શક્યતા નથી, જ્યારે શહેરની બેઠકોમાં સૌથી વધુ ઉથલપાથલ જોવા મળી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે, ઓછા મતદારો એટલે ઓછું મતદાન ટકાવારી અને ઓછું ટર્નઆઉટ સીધું પરિણામોને અસર કરે છે. હવે પક્ષોને બૂથ લેવલ મેનેજમેન્ટ, નવા મતદારોની નોંધણી અને ગ્રાઉન્ડ કનેક્ટિવિટી પર વધુ ધ્યાન આપવું પડશે. સૌથી વધુ ઉધનામાં 39.7%, કરંજમાં 38.7% નામો કપાયા, જ્યારે માંડવીમાં 8.8% મતદારોના નામો કપાયા
એરપોર્ટથી બહાર નીકળતા જ ટેક્સી બુકિંગમાં થતી લૂંટ અને મુસાફરોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતી સિસ્ટમ પર હવે કાયમી બ્રેક લાગશે. એરપોર્ટ ઓથોરિટીએ ખાનગી કંપનીઓની ઈજારાશાહી તોડવા ‘ભારત ટેક્સી’ સાથે હાથ મિલાવ્યા છે. સહકાર ટેક્સી સંચાલિત આ સેવા એકાદ મહિનામાં સુરત, વડોદરા, રાજકોટ અને ભૂજ સહિત દેશના 9 એરપોર્ટ પર પેસેન્જરોને ‘ફર્સ્ટ ક્લાસ’ મુસાફરીનો અનુભવ કરાવશે. તાજેતરમાં AAIના ચેરમેન વિપિન કુમારે આ સમજૂતી કરાર (MoU) પર મહોર મારી હતી. આ નવી વ્યવસ્થાથી એરપોર્ટ ટ્રાન્સપોર્ટમાં ‘ગળાકાપ સ્પર્ધા’ જામશે અને અંતે તો ફાયદો મુસાફરોને જ થશે. ગુજરાતના ચાર સહિત દેશના આ નવ એરપોર્ટ પર સેવા મળશે ભાસ્કર નોલેજટેક્સીના ડ્રાઈવરો નોકર નહીં પણ સહ-માલિક હશેઅત્યાર સુધી ખાનગી કંપનીઓ રાત્રે કે ડિમાન્ડ વધતાં મનફાવે તેમ ભાડાં વસૂલતી હતી, જે ભારત ટેક્સીના આગમનથી અટકી જશે. આ સેવા NCDC દ્વારા પ્રમોટેડ છે. અહીં ડ્રાઈવર કોઈ કંપનીનો નોકર નહીં પણ કો-ઓનર (સહ-માલિક) છે. કમિશનખોરી બંધ થતાં ડ્રાઈવરની આવક વધશે અને પેસેન્જરનું ભાડું ઘટશે. જે રીતે દૂધમાં અમૂલે ક્રાંતિ કરી તેમ ટેક્સી સેવામાં સહકારી શક્તિના જોડાણથી ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્રને સાકાર કરવામાં આવશે. કામની વાતસેવાનો લાભ આ રીત લઈ શકાશે
રવિવારે મહાશિવરાત્રિ:રાત્રિના 2:45 કલાક સુધી વ્યતિપાત યોગ
પંચાંગ પ્રમાણે મહા વદ તેરસને રવિવાર તા. 15 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ છે. આ વર્ષે શિવરાત્રિના દિવસે આખો દિવસ તથા રાત્રિના 2:45 કલાક સુધી વ્યતિપાત યોગ છે. જે શિવ પૂજા-ઉપાસના માટે ઉત્તમ રહેશે, વ્યતિપાત યોગને શુભ કાર્યમાં લેવાતો નથી જ્યારે પૂજાપાઠ, જાપ, તપ માટે ઉત્તમ ફળ આપનાર બને છે. શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું મહાશિવરાત્રિએ શિવજીની ઉપાસના કરવી અથવા ‘ૐ નમઃ શિવાય’ પંચાક્ષર મંત્રની 21 અથવા 108 માળા સિદ્ધિ આપનાર બનશે. જન્મકુંડળીમાં ચંદ્ર-રાહુનો ગ્રહણ યોગ હોય શનિ-ચંદ્રનો વિષયોગ હોય, કેમદ્રુમ યોગ હોય, ચંદ્ર નબળો હોય તો શિવજીને જળ ચઢાવવાથી લાભ મળે તથા માનસિક શાંતિ મળે. શિવને જળ ચડાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય. દૂધ ચડાવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય, મધ પણ ચડાવવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય, ધ્રોકડ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય, દર્ભ (દાભરો) ચડાવવાથી પાપનો નાશ થાય છે. નિશીથ કાળ રાત્રે 12:37થી 1:25 સુધી છે. રાશિ પ્રમાણે મહાદેવની આ પ્રમાણે પૂજા કરવી ચાર પ્રહરની પૂજા રાત્રિના ચાર પ્રહર (સમય): મહાદેવને અલગ અલગ દ્રવ્યના અભિષેક કરવાથી મળતું ફળ
પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ:મોઢ વણિક જ્ઞાતિએ રૂગનાથજી મંદિરનો 139મો પાટોત્સવ ઉજવ્યો
શહેરની બોઘાણી શેરી, સોની બજાર ખાતે આવેલા સમસ્ત મોઢ વણિક જ્ઞાતિના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ(રૂગનાથજી) ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા 138 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. સમસ્ત મોઢ વણિક જ્ઞાતિની આસ્થાનું કેન્દ્ર શ્રી રૂગનાથજીનો તાજેતરમાં 139મો પાટોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં શ્રીજીની આંગી, શૃંગાર, ધજા આરોહણ અને અન્નકૂટ બાદ મહાઆરતી કરવામાં આવી હતી. મંદિરના પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહાત્મા ગાંધીજી રાજકોટ ખાતેના રોકાણ દરમિયાન દર્શન કરવા આવતા હતા. સાથોસાથ મંદિરના વિવિધ ધાર્મિક પ્રસંગો દરમિયાન રાજકોટના તત્કાલીન ઠાકોરસાહેબ લાખાજીરાજબાપુ પણ પધારતા હતા. આ મંદિરનુ સંચાલન શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા કરવામાં આવે છે. પાટોત્સવના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને.ટ્રસ્ટી કિરેન છાપિયા, સહમંત્રી કેતન પારેખ સહિતના અનેક જ્ઞાતિજનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
પરિણીતાને અપાયો ત્રાસ:પ્રસૂતિ સમયે પતિએ મહિલા તબીબને ‘આ બાળક કોનું છે?’ કહી સિતમ ગુજાર્યો
રાજકોટની મહિલા તબીબને જેતપુરમાં રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ મેણાંટોણાં મારી ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગર્ભાવસ્થા સમયે પતિએ મહિલા તબીબને “આ બાળક કોનું છે?’ કહી સિતમ ગુજાર્યો, સાસુ-સસરાએ ઢોરમાર મારતા પોલીસમાં ગુનો નોંધાયો છે. આ બનાવમાં સહકાર મેઈન રોડ પરની સાધના સોસાયટીમાં એક વર્ષથી માવતરે એતી મહિલા તબીબ અંજલિબેન અગ્રાવતે(ઉં.વ.29)નામની પરિણીતાએ પોલીસમાં જેતપુર “અગ્રાવત ક્લિનિક’ પટેલ સમાજની વાડી પાસે રહેતા પતિ માધવ અગ્રાવત, સાસુ શોભનાબેન અગ્રાવત અને સસરા મહેશ ચત્રભુજભાઈ અગ્રાવત સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન ફેબ્રુઆરી 2022માં જેતપુરના રહેવાસી માધવ મહેશભાઈ અગ્રાવત સાથે થયા હતા. લગ્નના ચાર-પાંચ મહિના સુખરૂપ વિત્યા બાદ સાસરિયાંઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. સાસરિયાં દ્વારા ઘરકામ અને ઘરખર્ચ જેવી બાબતોમાં તેને અપશબ્દો બોલી મેણાંટોણાં મારવામાં આવતા હતા. તેમના પતિ માધવને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હતા, જે અંગે પૂછપરછ કરતા પતિ તેની સાથે ઝઘડો કરી મારપીટ કરતો હતો. આટલું જ નહીં, પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને પત્ની પર ખોટી શંકા કરી સતત માનસિક ત્રાસ આપતો હતો. પત્નીના મોબાઈલ પર કોનો ફોન આવે છે તેની વિગતો અને સ્ક્રીનશૉટ્સ પણ તે મગાવતો હતો. જ્યારે અંજલિબેન ગર્ભવતી હતા ત્યારે તેમની તબિયત સારી ન હોવા છતાં સાસુ શોભનાબેન તેમની પાસે ઢોરની જેમ કામ કરાવતા હતા. નવમો મહિનો ચાલતો હતો ત્યારે પણ પતિએ”આ બાળક કોનું છે’ તેવી શંકા કરી ઝઘડો કર્યો હતો. ડિલિવરી બાદ પણ સાસુ-સસરાએ તેને શાંતિ લેવા દીધી નહોતી અને મેણાં મારી હેરાનગતિ ચાલુ રાખી હતી. પરિણીતા હોમિયોપેથી ક્લિનિક ચલાવતી હતી, પરંતુ તેની તમામ આવક સાસરિયાંઓ પડાવી લેતા હતા. પતિ તેના કબાટમાં અન્ય સ્ત્રીઓના ફોટા રાખતો અને પત્નીને તે ખાનાને અડવાની પણ મનાઈ હતી. આખરે ત્રાસ સહન ન થતા પરિણીતા પિતાના ઘરે પરત ફરી હતી. પોલીસે પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હુમલો:પૈસાની લેતીદેતીને કારણે બે શીખ પરિવાર વચ્ચે સામ-સામે હુમલો
પોપટપરા મેઇન રોડ રઘુનંદન સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે પૈસાની લેતીદેતી અને જૂના મનદુઃખને લીધે મારામારી થતાં એક બીજા પર પાઇપથી હુમલો કરી ઇંટોના ઘા કરતાં બંને પક્ષના મળી કુલ 6 લોકોને ઇજા પહોંચી હતી. રઘુનંદન સોસાયટીમાં રહેતાં બલજીતબેન રાઠોડ તથા તેનો દીકરો રવીન્દ્રસિંઘ સરપાલસિંઘ રાઠોડ સવારે ઘરે હતાં ત્યારે પાડોશી આકારસિંઘ, શાનુ, અનમોલ સહિતનાએ ઝઘડો કરી પાઇપથી માર મારતા બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. સામા પક્ષે તનુબેન મનજીતસિંઘ પોથીવાલ(ઉ.વ.25), મનજીતસિંઘ પોથીવાલ, આકાશસિંઘ અને ભગવતકી પણ ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં પહોંચતા અને પોતાના પર પાડોશી રવીન્દ્રસિંઘ, પ્રદીપસિંઘ, ઇલવાસિંગ સહિતે પાઇપથી હુમલો કરી ઇંટોના ઘા કરી ઇજા પહોંચાડ્યાનું કહેતાં બને બનાવની જાણ પોલીસને કરી હતી. આકાશસિંઘના ખિસ્સામાં રાખેલા ત્રીસ હજાર રૂપિયા પણ ઝપાઝપીમાં ખોવાઇ ગયા હતા. તેણીના ભાભી વિશે પણ રવીન્દ્રસિંઘ જેમ તેમ બોલ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. સામા પક્ષે રવીન્દ્રસિંઘે જણાવ્યું હતું કે, અગાઉ તેણે દસ હજાર રૂપિયા લીધા હોઇ તે વ્યાજ સહિત પંદર હજાર ચૂકવ્યા છતાં વધુ પૈસા માગતા જે અંગે તેણે પોલીસમાં અરજી કરી હોઇ તેથી મનદુઃખને લીધે મારામારી થઇ હતી.
લોભામણી લાલચે ફ્રોડનો શિકાર બન્યા મેનેજર:પરીન મોટરના ફાઇનાન્સ મેનેજર સાથે જમીનમાં રોકાણના નામે ઠગાઇ
રાજકોટ શહેરમાં રહેતા અને પરીન મોટરના ફાઇનાન્સ મેનેજર તરીકે નોકરી કરતા પ્રૌઢ સાથે અમદાવાદ અને ગાંધીનગરના શખ્સે અમદાવાદની જમીન મેટરમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી રૂ.16.40 લાખ પડાવી લઈ કોઈ પણ જાતનું વળતર કે રકમ ન આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં ગાયત્રીનગર શેરી નં.10/02 જલારામ ચોક પાસે રહેતા અને પરીન મોટરના ફાઇનાન્સ મેનેજર તરીકે નોકરી કરતા મુકેશભાઈ રતિલાલ ખીમાણીએ ક્રાઈમ બ્રાન્ચમાં અમદાવાદના મધુર અશોકભાઈ અગ્રાવત અને ગાંધીનગરના બળદેવ નાનુભાઈ દેસાઈ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદની જમીન મેટરમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી આ મધુર અને બળદેવએ તેની પાસેથી રૂ.16.40 લાખ પડાવી લઈ કોઈ પણ જાતનું વળતર કે રકમ ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. જેથી પોલીસને જાણ કરતા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ‘કવચ કેન્દ્ર’ પહેલ અંતર્ગત યુનિસેફના સંકલન સાથે રાજ્યભરની વિવિધ યુનિવર્સિટીઓમાં એક દિવસીય ‘વિદ્યાર્થી સાયબર સિક્યુરિટી’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાતની યુનિવર્સિટીઓમાંથી કુલ 780 વિદ્યાર્થીએ સહભાગી બનીને સાયબર સિક્યુરિટી સંબંધિત વ્યવહારિક જ્ઞાન મેળવ્યું હતું. આ પહેલ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો, ગ્રામ વિદ્યાપીઠો તેમજ યુનિવર્સિટીઓમાંથી પ્રતિ સંસ્થા બે વિદ્યાર્થીને પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ કવચ કેન્દ્ર સાયબર ક્લબના વોલેન્ટરી તરીકે કામગીરી કરી રહ્યા છે અને તેમને જવાબદાર ડિજિટલ હાઇજિન, સાયબર ખતરાઓ સામે તૈયારી તેમજ સંસ્થાગત સાયબર સુરક્ષા મજબૂત બનાવવા અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. તાલીમબદ્ધ થયેલા આ વિદ્યાર્થીઓ હવે પોતાની શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પસ સ્તરે ‘સાયબર જાગૃતિ દૂત’ તરીકેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલથી યુવાનોમાં સાયબર ઠગાઈ, ફિશિંગ, ડેટા પ્રાઇવસી અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થશે. સાથે જ ‘કવચ કેન્દ્ર’ પહેલના માધ્યમથી સાયબર ક્લબ્સની સ્થાપનાને વેગ મળશે અને સાયબર જોખમ નિવારણ તેમજ ડિજિટલ પ્રતિરોધ ક્ષમતામાં સંસ્થાગત તૈયારી વધુ મજબૂત બનશે. રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાંથી અમુક વિદ્યાર્થીઓને જ આ તાલીમ માટે મોકલાયા હતા. તાલીમમાં શું શીખ્યા વિદ્યાર્થીઓતાલીમ દરમિયાન સાયબર સિક્યુરિટી જાગૃતિ, સાયબર હાઇજિન, ડિજિટલ નૈતિકતા, સાયબર ખતરાઓની ઓળખ, સાયબર ઘટનાની રિપોર્ટિંગ પદ્ધતિઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સાયબર સુરક્ષા સંસ્કૃતિ વિકસાવવામાં વિદ્યાર્થીઓની સક્રિય ભૂમિકા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રીલથી રિયલ સુધીની સફર:યુનિ.માં 17મીથી સિનેમા જગતનાના દુર્લભ ખજાનાનું પ્રદર્શન
આજની પેઢી ભલે નેટફ્લિક્સ અને યૂટ્યૂબના જમાનામાં જીવતી હોય, પરંતુ જે મજા ‘બાયોસ્કોપ’ના કાચમાંથી ચિત્રો જોવામાં અને ‘ગ્રામોફોન’ની પ્લેટ પર રેકોર્ડ વગાડવામાં હતી, તે કંઈક અલગ જ હતી. સિનેમાના આ ભવ્ય ભૂતકાળને જીવંત કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પત્રકારત્વ ભવન લાવી રહ્યું છે એક અનોખું પ્રદર્શન- ‘ગુજરા હુઆ જમાના’. આગામી 17, 18 અને 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન યુનિવર્સિટીની આર્ટ ગેલેરી ખાતે ‘ગુજરા હુઆ જમાના’ શીર્ષક હેઠળ જૂના અને દુર્લભ સાધનોનું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ડિજિટલ ફિલ્મોના યુગમાં યુવાનો અને વિદ્યાર્થીઓને ફિલ્મ તથા સંગીત ક્ષેત્ર અને ટેક્નોલોજીના વિકાસથી પરિચિત કરાવવાનો છે. આ ડિજિટલ ફિલ્મ મેકિંગ વર્કશોપ દ્વારા આધુનિક ફિલ્મ નિર્માણની પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. આ પ્રદર્શન પત્રકારત્વ ભવન દ્વારા આયોજિત ‘ડિજિટલ ફિલ્મ મેકિંગ વર્કશોપ’ના ભાગરૂપે યોજાઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન 17મી ફેબ્રુઆરી, મંગળવારના રોજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ફિલ્મી પડદા પાછળના ઇતિહાસ અને ટેક્નોલોજીના ક્રમિક વિકાસથી માહિતગાર કરવાનો છે. વર્કશોપમાં એકતરફ આધુનિક ફિલ્મ નિર્માણની તાલીમ અપાશે, તો બીજી તરફ આ પ્રદર્શન દ્વારા તેના મૂળિયાની ઓળખ કરાવાશે. ફિલ્મ રસિકો અને વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન જૂની યાદોને તાજી કરવાની સાથે કંઈક નવું શીખવાની શ્રેષ્ઠ તક સાબિત થશે. આ પ્રદર્શનમાં જાણીતા સંગ્રાહક પ્રકાશભાઈ વાગડિયાના સંગ્રહમાંથી વર્ષો જૂના સાધનો પ્રદર્શિત કરાશે. આટલા દુર્લભ સાધનો જોવા મળશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે પરીક્ષા કેન્દ્ર દૂર હોવાને કારણે વિદ્યાર્થીઓએ જે હાલાકી ભોગવવી પડતી હતી, તેનો હવે અંત આવશે. શિક્ષણ વિભાગના નવા નિર્ણય અનુસાર, હવે વિદ્યાર્થીઓને તેમની પોતાની શાળાથી માત્ર 3 કિલોમીટરના વિસ્તારમાં જ પરીક્ષા નંબર ફાળવવામાં આવશે. અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓને પોતાના ઘર કે શાળાથી 10થી 15 કિલોમીટર દૂર પરીક્ષા આપવા જવું પડતું હતું. વહેલી સવારે ટ્રાફિક અને અંતરને કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ જોવા મળતો હતો, પરંતુ હવે 3 કિ.મી.ના નિયમને કારણે વિદ્યાર્થીઓ ફ્રેશ માઈન્ડ સાથે પરીક્ષા આપી શકશે. આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. આગામી બોર્ડ પરીક્ષા માટે રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે રાજકોટમાંથી કુલ 80,507 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવી દેવામાં આવ્યું છે. ચોરીના દૂષણને ડામવા અને પારદર્શક રીતે પરીક્ષા લેવાય તે માટે ફ્લાઈંગ સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. નજીકના કેન્દ્ર મળવાને કારણે વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે તેમને સંતાનોને મૂકવા-લેવા જવામાં સરળતા રહેશે. બોર્ડની હેલ્પલાઈન પણ શરૂ, સાઇકોલોજિસ્ટ કરશે કાઉન્સેલિંગફેબ્રુઆરી/માર્ચ-2026માં લેવાનાર ધો-10 અને ધો-12ની બોર્ડની મુખ્ય પરીક્ષા અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન અંગે બોર્ડે મહત્ત્વની બાબત જાહેર કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી 26 ફેબ્રુઆરી-2026થી શરૂ થતી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા.12 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાઇકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને હેલ્પલાઈનનો લાભ લેવા જણાવાયું છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નં- 1800 233 5500 છે. હેલ્પલાઇનનો સમય સવારે 11:00 થી સાંજે 06:00નો રહેશે. ક્યાં ધોરણમાં કેટલા વિદ્યાર્થી

34 C