વલસાડ 108 ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી:ઇંટ ભઠ્ઠીમાં કામ કરતી મહિલા અને બાળક સુરક્ષિત
વલસાડ જિલ્લાના આધિયાવાડ વિસ્તારમાં ઇંટના ભઠ્ઠીમાં કામ કરતી 20 વર્ષીય મહિલાને 15 જાન્યુઆરી 2026ના રોજ અચાનક પ્રસૂતિ પીડા ઉપડી હતી. પરિવારના સભ્યોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ માંગી હતી. વલસાડ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઝોલી સ્ટ્રેચર દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલ તરફ રવાના થઈ હતી. રસ્તામાં નનકવાડા પાસે પહોંચતા મહિલાને અત્યંત તીવ્ર પ્રસૂતિ પીડા શરૂ થઈ, જેથી એમ્બ્યુલન્સને સાઈડમાં ઊભી રાખવી પડી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાનું હિમોગ્લોબિન ઓછું હોવાથી તેમની ગર્ભાવસ્થા હાઈ રિસ્ક હતી. સ્થિતિની ગંભીરતા જોતા EMT ચંદ્રાવતી પટેલ અને પાયલોટ જિગ્નેશ મકવાણાએ તાત્કાલિક નિર્ણય લીધો. પરિવારના સભ્યોના સહયોગથી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવી પડી હતી. થોડી જ વારમાં બાળકનો સફળતાપૂર્વક જન્મ થયો અને માતા-બાળક બંને સુરક્ષિત રહ્યા. 108ની ટીમની સમયસર મદદ મળવાથી માતા અને બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી. ડિલિવરી બાદ ડોક્ટર રામાણીના માર્ગદર્શન મુજબ જરૂરી ઇન્જેક્શન, ઓક્સિજન અને બાળકને બેબી વોર્મિંગ તથા મધર કેર આપવામાં આવી. ત્યાર બાદ વધુ સારવાર માટે માતા-બાળકને સિવિલ હોસ્પિટલ, વલસાડ ખસેડવામાં આવ્યા. આ સફળ કામગીરી બદલ મહિલાના પરિવારજનોએ 108ના EMT અને પાયલોટનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડીસા-પાટણ હાઈવે પર ઈનોવા કારનો અકસ્માત:એક યુવકનું ઘટનાસ્થળે મોત, અન્ય ઘાયલ
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે શુક્રવારે વહેલી સવારે 11 વાગ્યે ડીસા-પાટણ હાઈવે પર એક ઈનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. મૃતક યુવક થરી સિન્ધી ઠક્કર સમાજનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ડીસા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કોથમડી ગામમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આજે વહેલી સવારે એક દીપડો કેદ થયો હતો. છેલ્લા ઘણા સમયથી દીપડાના ભય હેઠળ જીવતા ગ્રામજનોએ આ ઘટનાથી રાહત અનુભવી છે. કોથમડી ગામના ખેતરો અને રહેણાંક વિસ્તારની આસપાસ દીપડો દેખાતો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક દિવસોથી ઉઠી રહી હતી. આ અંગે ગ્રામજનોએ નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જને જાણ કરી હતી. વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર અમિષાબેન પટેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગામના ખાંજણ ફળિયામાં રહેતા વિજયભાઈ નવીનભાઈ પટેલના ઘરની પાછળ વાડામાં એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે શિકારની શોધમાં દીપડો વિજયભાઈના વાડા તરફ આવતા તે પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફોરેસ્ટર અમિષાબેન પટેલ અને સ્ટાફના નવલભાઈ રાઠોડ દ્વારા દીપડાનો સુરક્ષિત રીતે કબજો લેવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, પકડાયેલો દીપડો આશરે 6 વર્ષની ઉંમરનો છે. દીપડો પકડાતા કોથમડી ગામના રહીશોએ છેલ્લા ઘણા દિવસોથી પ્રવર્તતા ભયના માહોલમાંથી મુક્તિ મેળવી હાશકારો અનુભવ્યો છે. હાલમાં વન વિભાગ દ્વારા દીપડાની જરૂરી તબીબી તપાસ કરવામાં આવી રહી છે, ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
હિંમતનગર તાલુકાના હાથરોલ ગામે ચૌમુખ મહાદેવ મંદિર પરિસર નજીક આશરે રૂ. 1 કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રોટેક્શન દીવાલ અને ડેમના આનુસંગિક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત બનનારી પ્રોટેક્શન દીવાલથી મંદિર પરિસર સુરક્ષિત બનશે. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આ પ્રસંગે ચૌમુખ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ દીવાલથી પાણી સંરક્ષણ, પૂર નિયંત્રણ અને મંદિરની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થશે. આ કામ પૂર્ણ થવાથી ગ્રામજનોને લાંબા ગાળે પાણી સંરક્ષણ અને પૂર નિયંત્રણના લાભ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચ ગીતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, દિલીપસિંહ રહેવર, મહેન્દ્રભાઈ પટેલ, ભવરસિંહ ચૌહાણ, ચૌમુખ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ સહિત અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
વલસાડમાં વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપી મહંમદ અબ્બાસ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેણે યુકે અને ન્યુઝીલેન્ડના વિઝા અપાવવાના નામે અનેક લોકો પાસેથી અંદાજે ₹76.39 લાખની ઠગાઈ કરી હતી. વલસાડ સિટી પોલીસે આરોપીને સાથે રાખીને મહારાષ્ટ્રમાં તપાસનો દોર લંબાવ્યો છે. આ છેતરપિંડીનો મામલો ગયા વર્ષે 25 ઓક્ટોબરે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. એક ફરિયાદીએ યુકેના વર્ક અને વિઝિટર વિઝા અપાવવાના બહાને આરોપીએ ₹10 લાખ એડવાન્સ લીધા હોવાની ફરિયાદ કરી હતી. આરોપીએ આ રકમ અલગ-અલગ ઇમિગ્રેશન એજન્સીઓના નામે ટ્રાન્સફર કરાવી હતી. ગુનો નોંધાયા બાદ પોલીસ તપાસમાં આરોપી દુબઈ ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું. વલસાડ પોલીસે તાત્કાલિક તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. 13મી તારીખે આરોપી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ ઇમિગ્રેશન વિભાગે તેને રોકી લીધો હતો અને વલસાડ પોલીસને જાણ કરી હતી, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ અત્યાર સુધીમાં અન્ય ચાર લોકો પાસેથી પણ છેતરપિંડી કરીને કુલ ₹76,39,000 પડાવ્યા છે. તેની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) મુજબ, તે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા વિદેશ જવા ઇચ્છુક લોકોનો સંપર્ક કરતો હતો. વિઝાની ગેરંટી આપી પૈસા પડાવ્યા બાદ તે કોઈ કામગીરી કરતો ન હતો. આરોપીની પૂછપરછમાં તેણે આ પૈસા અન્ય લોકોને કામ માટે આપ્યા હોવાનું જણાવ્યું છે, અને પોલીસ આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરી રહી છે. વલસાડ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર વિદેશ જવા માટેની જાહેરાતો પર આંધળો વિશ્વાસ ન કરવો. કોઈપણ એજન્ટને પૈસા આપતા પહેલા તેની સંપૂર્ણ ખાતરી કરવી. જો કોઈ વ્યક્તિ આવી છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
અમદાવાદ-મહેસાણા હાઈવે પર ઝુંડાલ ગામની સીમમાં 15 જાન્યુઆરીની સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી એક લાલ રંગની મર્સિડીઝના ચાલકે જ્યુપિટર પર જઈ રહેલા વૃદ્ધને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓ ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, ઝુંડાલ ગામમાં ગ્રામ પંચાયતની સામે રહેતા રમણભાઈ મણીભાઈ પટેલ (ઉ.વ. 65) 15 જાન્યુઆરીના રોજ સવારે જ્યુપિટર (GJ-18-FJ-6218) લઈને ગુરુકુળ સ્કૂલ બાજુથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.આ દરમિયાન પાછળથી આવતી એક લાલ કલરની મર્સિડીઝ ગાડી (નં. RJ19-CJ-5101)ના રમણભાઈના સ્કૂટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. મર્સિડિઝ ચાલક અને પાછળ બેસેલી મહિલા નાસી છૂટ્યાઆ અકસ્માત એટલો જોરદાર હતો કે રમણભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથા તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકો અને તેમના પિતરાઈ ભાઈ સુરેશભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે મર્સિડીઝનો ચાલક તેમજ પાછળ બેસેલી મહિલા ગાડી મુકીને નાસી ગયા હતા. મોઢાના જડબા અને માથામાં ગંભીર ઈજાબાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રમણભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની કે.ડી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન બાદ ડોક્ટરોએ રમણભાઈને માથામાં ગંભીર ઈજા ઉપરાંત મોઢાના જડબાના ભાગે ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. હાલમાં તેઓ બેભાન અવસ્થામાં ICUમાં સારવાર હેઠળ છે. આરટીઓમાંથી ગાડીની વિગતો મગાવાઈઆ અંગે રમણભાઈના મોટા ભાઈ અમૃતભાઈ મણીભાઈ પટેલે અકસ્માત સર્જનાર મર્સિડીઝ કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અડાલજ પીઆઇ એલ. ડી. ઓડેદરાએ જણાવ્યું કે, અકસ્માત સર્જી મર્સિડીઝ મૂકીને ચાલક નાસી ગયો હતો. પ્રાથમિક તપાસમાં પાછલી સીટમાં મહિલા પણ બેઠેલી હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓમાંથી ગાડીની વિગતો મંગાવવામાં આવી છે. જે પછી મર્સિડીઝ માલિક સહિતની વિગતો સામે આવશે. જુલાઈ, 2025માં સિટી પલ્સ રોડ પર પીધેલા કારચાલકે કાળો કેર વર્તાવ્યો હતોગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે(25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા સફારીના ચાલકે ગંભીર અકસ્માત કર્યો હતો. ટાટા સફારી કારના બેદરકાર ચાલક એવા હિતેશ વિનુભાઈ પટેલે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતાં એક મહિલા સહિત 2નાં મોત થયાં હતા.
રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આગામી વર્ષનું બજેટ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે ગતવર્ષનાં રૂ. 3100 કરોડ રૂપિયાનાં બજેટમાંથી માત્ર રૂ. 1400 કરોડના વિકાસ કામો થયા છે. નાણાનાં અભાવને લઈને અનેક યોજનાઓ ફાઇલોમાંથી બહાર જ નીકળી શકી નથી. એટલું જ નહીં મનપા હાલમાં ઇતિહાસના સૌથી કપરા આર્થિક સમયગાળામાંથી પસાર થઈ રહી હોય તેમ તિજોરીના તળિયા દેખાતા આખરે અમૃત-2 યોજના સહિતના વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે રૂ. 200 કરોડની લોન લેવાની ફરજ પડી છે. પ્રાપ્ત વિગત મુજબ ગત નાણાકીય વર્ષ 2025-26 નું વાર્ષિક અંદાજપત્ર રૂ. 3100 કરોડનું છે, પરંતુ ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવાને હવે ગણતરીના બે મહિના જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા માત્ર રૂ. 1400 કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નાણાંના અભાવે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ કાગળ પર જ રહી ગઈ છે અથવા તો તેનું 'બાળમરણ' થયું છે. સફાઈ ખર્ચમાં તોતિંગ વધારાએ તિજોરી સાફ કરી મહાનગરપાલિકાની આર્થિક કમર તોડવામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનનો નવો કોન્ટ્રાક્ટ મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. અગાઉ જે કામ વાર્ષિક રૂ. 35 કરોડના ખર્ચે થતું હતું, તેમાં રૂ. 90 કરોડનો અધધ વધારો ઝીંકીને હવે વાર્ષિક ખર્ચ રૂ. 120 કરોડ પર પહોંચાડી દેવામાં આવ્યો છે. 10 વર્ષના આ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટમાં દર વર્ષે 5% નો વધારો નક્કી કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી વર્ષોમાં આ ખર્ચ રૂ. 900 કરોડના આંકડાને આંબી જશે. એકબાજુ તંત્રએ 115 ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવાની યોજનાને નાણાંના અભાવે અભેરાઈએ ચડાવી દીધી છે, ગયા વર્ષની કાગળ પર રહેલી યોજનાઓ ગતવર્ષના બજેટમાં વર્ષ 2024-25ની અનેક યોજના સામેલ કરવામાં આવી હતી. જોકે આ જાહેર કરાયેલી અનેક યોજનાઓ આજે પણ ફાઈલોમાં જ દબાયેલી છે. અધિકારીઓ પાસે પણ કદાચ આ યોજનાઓની પ્રગતિ અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી. આજી રિવરફ્રન્ટ, મોરબી રોડ પર નવું સ્મશાન ગૃહ, અને કિસાનપરા ચોકથી મહિલા કોલેજ સુધીનો વ્હાઇટ ટોપિંગ રોડ જેવી યોજનાઓ હજુ વનવાસ ભોગવી રહી છે. આ ઉપરાંતજન ભાગીદારી દ્વારા જળ સંવર્ધન અને ગ્રીન લાયબ્રેરી,, ત્રણ મહિલા હોકર્સ ઝોન અને પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર, પીડીએમ ફાટક પાસે બ્રીજ અને સફાઈ કામદારો માટે કોમ્યુનિટી હોલ, રેસકોર્સ રિંગ રોડ પર LED લાઈટ અને આકર્ષક એન્ટ્રી ગેટ, આ તમામ યોજનાઓ કાં તો શરૂ થઈ નથી અથવા તો અધવચ્ચે લટકી પડી છે. પાણી વેરો અને આવક-ખર્ચનું અસંતુલન રાજકોટની જળ સમસ્યા પણ આર્થિક બોજમાં વધારો કરી રહી છે. આજી અને ન્યારી ડેમની ક્ષમતા વસ્તીના પ્રમાણમાં ઓછી હોવાથી મનપાએ વર્ષમાં બે વાર સૌની યોજના હેઠળ નર્મદાના નીર મંગાવવા પડે છે. રાજ્ય સરકારને મનપા પ્રતિ 1000 લીટરે રૂ. 6 ચૂકવે છે, જેની સામે પ્રજા પાસેથી વાર્ષિક માત્ર રૂ. 1500 પાણી વેરો વસૂલવામાં આવે છે. આ તફાવતને કારણે જળ વિતરણ વ્યવસ્થામાં મોટું આર્થિક ગાબડું પડી રહ્યું છે. પગાર ખર્ચ અને મિલકત વેરાની આવક હાલમાં મનપાની આર્થિક સ્થિતિ એટલી હદે નાજુક છે કે મિલકત વેરાનો રૂ. 454 કરોડનો લક્ષ્યાંક જો 100% પૂર્ણ થાય તો પણ તેમાંથી માત્ર કર્મચારીઓનો રૂ. 450 કરોડ વાર્ષિક પગાર જ નીકળી શકે તેમ છે. વિકાસ કામો માટે મનપાએ હવે અન્ય સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડે તેમ છે. આગામી બજેટમાં કરબોજ વધવાની શક્યતા હાલની સ્થિતિ જોતા તિજોરી ભરવા માટે આગામી બજેટમાં પ્રજા પર તોતિંગ કરબોજ ઝીંકવા સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી. જોકે, આગામી વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી રાજકીય શાસકો પ્રજાની નારાજગી વહોરવા તૈયાર થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. અગાઉના કમિશનરે સૂચવેલો રૂ. 150 કરોડનો કરબોજ શાસકોએ રદ કર્યો હતો, પરંતુ હવે લોન લેવાની અને મિલકતો વેચવાની નોબત આવતા શાસકો મૂંઝવણમાં મુકાયા છે. મનપાએ રૂ. 370 કરોડની કિંમતના 7 પ્લોટ વેચવા કાઢ્યા છે, જો આ પ્લોટ વેચાશે તો જ લોન લીધા વગર ગાડું ગબડશે, અન્યથા રાજકોટવાસીઓએ મોંઘવારીના જમાનામાં વધુ વેરા ભરવા માટે તૈયાર રહેવું પડશે. હવે જોવાનું એ રહેશે કે નવા બજેટમાં કમિશનર કેવા ક્રાંતિકારી પગલાં ભરે છે.
મકરસંક્રાંતિ પછી દરિયાકાંઠે ફેલાતા પતંગની દોરી, તૂટેલી પતંગો અને પ્લાસ્ટિક કચરાથી પક્ષીઓ, માછલાં અને કાચબા સહિતની અબોલ જીવસૃષ્ટિને થતું ગંભીર નુકસાન અટકાવવાના ઉદ્દેશ્ય સાથે વેરાવળ ચોપાટી ખાતે “Eco Club for Wetlands” ના શીર્ષક હેઠળ વિશાળ દરિયાકાંઠા સફાઈ અભિયાન યોજાયું. આ સેવાકાર્યમાં વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો અને નગરજનો એકત્ર થઈ કરોડો અબોલ જીવોને બચાવવાનો પુણ્ય અવસર પ્રાપ્ત કર્યો. આ અભિયાન Gir Foundation ની પ્રેરણાથી હાથ ધરાયું હતું. સંસ્થાના સંયોજક ભાવેશ ત્રિવેદી અને પ્રો. સંજય ભુતે જણાવ્યું કે, મકરસંક્રાંતિ બાદ દરિયાકાંઠે છૂટક પડેલી પતંગની દોરી અને પ્લાસ્ટિકમાં અનેક પક્ષીઓ તથા દરિયાઈ જીવો ફસાઈને મૃત્યુ પામે છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થીઓ અને નાગરિકોએ એકજુટ થઈ બીચ ક્લીનઅપ ડ્રાઈવ યોજી. વિશેષ વાત એ હતી કે આ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની ઔપચારિકતા—આમંત્રણ, સ્ટેજ, સ્વાગત કે પ્રોટોકોલ—રાખવામાં આવી નહોતી. સંપૂર્ણ સેવા ભાવ અને સામૂહિક જવાબદારી સાથે વિવિધ સંસ્થાઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા. સેવા અને સંવેદનાના આ અભિયાનથી પર્યાવરણ પ્રત્યેની સામાજિક જાગૃતિનો સશક્ત સંદેશો પ્રસારિત થયો. Gujarat Ecological and Research Foundation ના સહયોગથી યોજાયેલા આ સફાઈ અભિયાનમાં ગીર ફાઉન્ડેશનના કો-ઓર્ડિનેટર ભાવેશ ત્રિવેદી તથા મહિલા કોલેજના પર્યાવરણપ્રેમી પ્રો. સંજય ભૂતના માર્ગદર્શન હેઠળ વેરાવળ મહિલા કોલેજની 100થી વધુ વિદ્યાર્થિનીઓએ સક્રિય ભાગ લીધો. ઉપરાંત ચોકસી કોલેજ, જે.એમ. સાયન્સ કોલેજ, રોટરી ક્લબ, રેડક્રોસ સોસાયટી, એબીપીએસ સ્કૂલ, સનરાઈઝ સ્કૂલ, વેરાવળ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી. નગરપાલિકા દ્વારા કચરાના સંગ્રહ, નિકાલ અને પરિવહનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી, જેના કારણે સફાઈ કાર્ય અસરકારક રીતે પૂર્ણ થયું. અભિયાન દરમિયાન ખાસ કરીને નાગરિકોને પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ, એકલ-ઉપયોગી પ્લાસ્ટિકથી પરહેજ અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે વ્યક્તિગત સ્તરે જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી. વેરાવળ ચોપાટી પર યોજાયેલ આ દરિયાકાંઠા સફાઈ અભિયાન માત્ર એક દિવસનું કાર્યક્રમ ન રહી, પરંતુ અબોલ જીવોના રક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિનું પ્રેરક ઉદાહરણ બની રહ્યું—જે ભવિષ્યમાં વધુ સસ્ટેનેબલ અને પ્લાસ્ટિક-મુક્ત સમાજ તરફ માર્ગદર્શક સાબિત થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવેલો ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026ને છેલ્લા બે વર્ષમાં મળતા પ્રતિસાદ કરતાં ચાલુ વર્ષે ખૂબ ઓછો પ્રતિસાદ મળ્યો છે. ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકોએ એક જ દિવસમાં ફ્લાવર શોની મુલાકાત લેતા રેકોર્ડ સર્જાયો હતો, પરંતુ ચાલુ વર્ષે 2026માં માત્ર 78,000 જેટલા લોકોએ જ રજાના દિવસે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ઉત્તરાયણ પર 78,000 લોકોએ મુલાકાત લીધી, ગત વર્ષે 1.32 લાખ આવ્યા હતાસાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી નાગરિકો માટે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આયોજિત કરવામાં આવ્યો છે. જોકે ચાલુ વર્ષે ફ્લાવર શોને નાગરિકોનો પ્રતિસાદ મળતો ન હોય તેવું જોવા મળી રહ્યું છે. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર હોવાના પગલે માત્ર 78,000 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી જ્યારે ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકો આવતા રેકોર્ડ સર્જાયો હતો. 15 જાન્યુઆરીએ સાંજે 8 વાગ્યા સુધીમાં 65 હજાર ટિકિટો વેચાઈઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીક્રીએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે 78 હજાર જેટલી ટિકિટો વેચાઈ હતી. જ્યારે બાળકો સાથે 85 હજાર લોકોએ મુલાકાત લીધી હતી, જ્યારે 15 જાન્યુઆરીએ સાંજે 8 વાગ્યા સુધીમાં 65 હજાર જેટલી ટિકિટો વેચાઈ હતી અને બાળકો સાથે 68થી 69 જેટલા લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધીમાં કુલ 4.81 લાખ ટિકિટોની મદદથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 5.10 કરોડ રૂપિયાની આવક થઈ છે. વીઆઈપી સ્લોટમાં 4 હજાર જેટલા લોકોએ મુલાકાત લેતા 12 લાખ રૂપિયાની આવક નોંધાઈ છે. 1થી 15 જાન્યુઆરી સુધીમાં 5.50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધીજોકે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ને નાગરિકોનો ઓછો પ્રતિસાદ મળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં 5.50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. જેમાં પાંચ કરોડ સુધીની જ આવક થઈ છે. જ્યારે ગત વર્ષે 12 દિવસમાં 8 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી 8 કરોડથી વધારેની આવક થઈ હતી. જેથી આ વર્ષે ગત વર્ષ કરતાં રોજના 20 હજાર આસપાસ લોકો ઓછા આવ્યા છે અને આવક પણ ઓછી થઈ છે. લોકોની ભીડ ઓછી આવતા સમય વધારવો પડ્યોસાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં નાગરિકોનો ઓછો પ્રતિસાદ જોવા મળતા ફ્લાવર શોના સમયમાં વધારો કરવાની ફરજ પડી છે. દર વર્ષે ફ્લાવર શોમાં લોકોની ભીડ હોવાના કારણે દરવાજા બંધ કરવા પડે અને લોકોને સમય થતાં ટિકિટ આપવાનું બંધ અને બહાર નીકળવાની ફરજ પડે છે, પરંતુ ચાલુ વર્ષે તો મ્યુનિસિપલ કોર્પોરેશનને સમય વધારવો પડ્યો છે કારણ કે લોકોની ભીડ ખૂબ ઓછી આવી રહી છે. રાત્રે 10નો VIP સ્લોટ બંધરાત્રે 10નો VIP સ્લોટ હોવાના કારણે લોકો ઓછા આવતા હોવાનું સામે આવતા લોકો મોડે સુધી આવીને ફ્લાવર શો જોવે અને કોર્પોરેશનને આવક થાય તેના માટે ફ્લાવર શોનો સમય વધાર્યો અને રાત્રે વીઆઈપી સ્લોટ બંધ કર્યો છે. ફ્લાવર શોમાં નબળો પ્રતિસાદ જોવા મળતા આ નિર્ણય લેવો પડ્યો હતો.
વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારના રાત્રિના સમયે પ્રેમીને મળવા ગયેલી ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાએ રોડ પર ધમપછાડા કર્યા હતાં. પોલીસ વાન પર ચડી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસ જેમ-તેમ કરીને સગીરાને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેના માતા-પિતાની હાજરીમાં કાઉન્સિલિંગ કરાયું હતું. યુવતીએ પોલીસ વાન ચડીને કહ્યું હતું કે, મારી સાથે 3 વાર આવું થયું છે, મારે દર વખતે પોલીસ સ્ટેશન જવું પડે છે. પ્રેમી ઘરે ન મળતા સગીરાએ ઉગ્ર બનીઆ ઘટના અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સગીરા તેના પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ પ્રેમી ન મળતા તેણે અહીં હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતાં માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમરજન્સી હેલ્પલાઇન 112ની વાન પણ તાત્કાલિક આવી પહોંચી હતી. સગીરા ગુસ્સામાં પોલીસ વાન પર ચડી ગઈ હતી અને ધમપછાડા કર્યા હતા. બાદમાં પોલીસે સજાવી પોલીસે તેને સુરક્ષિત રીતે માંજલપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસે સગીરાના માતા-પિતાને બોલાવીને તેમની હાજરીમાં સગીરાનું કાઉન્સિલિંગ કર્યું હતું. સગીરા, પોલીસ અને લોકો વચ્ચે થયેલી વાતચીતના અંશ: આ સમયે યુવતી બૂમો પાડી પાડે છે અને રડવા લાગે છે. આ દરમિયાન સગીરાને ગાડી પરથી ઉતારવા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ યુવતી ઉતરવાની ના પાડે છે. પરિસ્થિતિ ગંભીર બનતા અન્ય લોકો પણ વચ્ચે પડે છે. એક વ્યક્તિએ સગીરાને પકડીને નીચે ઉતારીએક વ્યક્તિ સગીરાનો હાથ પકડતા સગીરા ગુસ્સે થઈ જાય છે અને એય...કહીને બૂમો પાડવા લાગે છે. ત્યારે તે વ્યક્તિ કહે છે ઉતર નહી તો થપ્પડ મારીશ, જેથી સગીરા કહે છે કે નહીં ઉતરી શું કરીશ? ત્યારબાદ તે વ્યક્તિ સગીરાને પકડીને નીચે ઉતારે છે. એક મહિલા સગીરાને થપ્પડ મારે છે, જેથી સગીરા કહે છે કે, હું શા માટે ઉતરું, મને દર વખતે પોલીસ સ્ટેશન જવાનું થાય છે.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માનવતાને કંપાવી દે તેવી ઘટનામાં પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વીડિયો પણ બનાવ્યો હતો. પતિએ મારઝૂડ કરી ઘરમાં તેલ પડ્યું છે, મરી જા એવી ઉશ્કેરણી કરતા આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. પરિણીતાના આપઘાત કેસમાં ઈચ્છાપોર પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. નાની-નાની વાતમાં પતિ ઝઘડો કરતો હતોબિહારના છપરા ખાતે રહેતા હરબંશ છબીલા સહા (64) ખેતીકામ કરે છે. સંતાનમાં 4 દીકરી અને બે દીકરા છે. 31 વર્ષીય દીકરી પ્રતિમાદેવીના લગ્ન રંજિત દિલીપ સહા સાથે થયા હતા અને તેઓ સુરતના ઇચ્છાપોર ખાતે જયરાજ સોસાયટીમાં રહે છે. રંજિત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા. તેઓને સંતાનમાં પુત્રી પ્રિયા, પુત્ર આદિત્ય અને અંકુશ છે. પતિ રંજિત નાની-નાની વાતે પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો. રંજિત ગેરેજમાં નોકરી કરે છે. પરિણીતાએ પોતે સળગી હોવાનું ભાઈને જણાવ્યું હતુંગત 4 જાન્યુઆરીના રોજ પ્રતિમા સળગી ગઇ હતી. શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હોવા છતાં રંજિતે અકસ્માતે દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઇ હોવાની વાત કરી હતી. બાળકોને લઈ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતીત્યારબાદ બાળકોને પૂછતા એવું જાણવા મળ્યું કે, મકાનના ધાબા પર પડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા જે વેરવિખેર થઈ જતા બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કરી હોવાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી. પતિએ વીડિયો બનાવ્યો પત્નીને સળગવા દીધીપતિ રંજિતની બૂમાબૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે પડી છોકરાઓને કેમ ઠપકો આપો છો? એવું કહેતા રંજિતે પ્રતિમા પર ભારે ગુસ્સો કરી મારઝુડ પણ કરી હતી. આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. તે સમયે રંજિતે ઘરમાં તેલ પડયું છે, તે લઇ સળગી જા એવી ઉશ્કેરણી કરતા પ્રતિમા ડીઝલ શરીરે છાંટી સળગી મરી હતી. તે સમયે રંજિતે પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતાર્યો હતો અને તેણીને સળગવા દીધી હતી. સસરાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પિતા હરબંશ છબીલા સાહની ફરિયાદના આધારે જમાઈ રંજિત દિલીપ સાહ (રહે. ઘર નં. એમ/30, જયરાજ સોસાયટી, ઈચ્છાપોર બસ સ્ટેન્ડ-3) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયોપોલીસે ઘટનાના તમામ પાસાંની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, વીડિયો ક્લિપ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. ઇચ્છાપોર પોલીસે રંજિત દિલીપ સહા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક ફલક પર લઈ જવા અને આ વિસ્તારને નિકાસનું પ્રમુખ કેન્દ્ર બનાવવાના ઉમદા હેતુ સાથે યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC-2026) સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ કોન્ફરન્સના ફળસ્વરૂપે સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર પંથકમાં કુલ Rs 5,78,330 કરોડના તોતિંગ રોકાણના લક્ષ્યાંક સાથે કુલ 5,492 પ્રોજેક્ટ્સ માટે એમ.ઓ.યુ. (Memorandum of Understanding) કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ તમામ દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં અંદાજે 6,26,253 જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે. મકરસંક્રાંતિના આ પર્વે આ ક્ષેત્રમાં સાચા અર્થમાં ‘વિકાસની સંક્રાંતિ’નો પ્રારંભ થયો છે. જિલ્લાવાર રોકાણની વિગતો: પ્રાપ્ત થયેલી સત્તાવાર માહિતી અનુસાર, રોકાણની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે. કચ્છમાં Rs 1,25,017 કરોડના ખર્ચે કુલ 458 પ્રોજેક્ટ્સ સાકાર થશે, જે 48,419 લોકોને રોજગાર આપશે. બીજા ક્રમે રહેલા ભાવનગર જિલ્લામાં Rs 60,176 કરોડના રોકાણ સાથે 306 એમ.ઓ.યુ. થયા છે, જેમાં સૌથી વધુ 1,84,606 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. ત્રીજા સ્થાને અમરેલી જિલ્લામાં Rs 36,275 કરોડના 62 પ્રોજેક્ટ્સ થકી 1,11,447 લોકોને કામ મળશે. રાજકોટ અને દેવભૂમિ દ્વારકાની સ્થિતિ: ઔદ્યોગિક હબ ગણાતા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 2,921 પ્રોજેક્ટ્સ માટે Rs 23,160 કરોડના કરારો થયા છે, જે 39,423 રોજગારીની તકો ઉભી કરશે. જ્યારે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં રોકાણકારોએ વિશેષ રસ દાખવતા Rs 34,439 કરોડના 85 સમજૂતી કરારો કર્યા છે, જેનાથી 11,514 લોકોને રોજગાર મળશે. અન્ય જિલ્લાઓનો પ્રદર્શન: જામનગર: Rs 15,300 કરોડના રોકાણ સાથે 357 કરારો (8,857 રોજગારી) પોરબંદર: Rs 9,089 કરોડના રોકાણ સાથે 447 પ્રોજેક્ટ્સ (9,954 રોજગારી) મોરબી: Rs 4,795 કરોડનું રોકાણ અને 191 કરારો (12,096 રોજગારી) જૂનાગઢ: Rs 3,324 કરોડના રોકાણ સાથે 228 પ્રોજેક્ટ્સ (4,305 રોજગારી) સુરેન્દ્રનગર: Rs 2,817 કરોડના રોકાણ માટે 193 કરારો ગીર સોમનાથ: Rs 1,353 કરોડના લક્ષ્ય સાથે 151 કરારો બોટાદ: Rs 291 કરોડના મૂલ્યના 34 એમ.ઓ.યુ. થયા છે આ ઉપરાંત, વિવિધ અન્ય ભૌગોલિક સ્થળોએ કુલ રૂ. 2,62,293 કરોડના રોકાણ માટે વધુ 59 એમ.ઓ.યુ. મંજૂર કરવામાં આવ્યા છે, જે અન્ય 1,81,143 લોકોને આજીવિકા પૂરી પાડશે. આ વિરાટ રોકાણ થકી સૌરાષ્ટ્ર અને કચ્છની આર્થિક તસવીર બદલાશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં 6 નવા ICU બેડ કાર્યરત:પંચમહાલ સહિત ત્રણ જિલ્લાના દર્દીઓને મળશે મોટી રાહત
પંચમહાલ જિલ્લાની ગોધરા જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. અહીં 6 નવા અત્યાધુનિક સર્જિકલ ICU બેડ તૈયાર કરીને કાર્યરત કરાયા છે. આ નવા યુનિટના પ્રારંભ સાથે હોસ્પિટલમાં ICU બેડની કુલ સંખ્યા 30 થી વધીને હવે 36 થઈ ગઈ છે. હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની સેવા અને ગુણવત્તાસભર સારવારને કારણે દર્દીઓનો ધસારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આ વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે હોસ્પિટલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આશિષ ખરાડીએ જણાવ્યું હતું કે, નવા કાર્યરત થયેલા સર્જિકલ ICUમાં વેન્ટિલેટર, ઓક્સિજન તેમજ તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર હાલતમાં આવતા દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલ કે મોટા શહેરોમાં રિફર કરવાને બદલે સિવિલ હોસ્પિટલમાં જ સમયસર અને સચોટ સારવાર મળી રહે તેવો છે. આ નવી સુવિધા કાર્યરત થવાથી પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લામાંથી આવતા ગરીબ તથા મધ્યમ વર્ગના તમામ દર્દીઓને સ્થાનિક સ્તરે જ ઉત્તમ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે. આ આધુનિકીકરણને કારણે ઇમરજન્સીના કિસ્સાઓમાં દર્દીઓને મોટી રાહત મળશે.
સાબરમતી રેલવે સ્ટેશન પર પુનર્વિકાસની કામગીરી અત્યંત ઝડપથી ચાલી રહી છે, જેમાં ધર્મનગર સાઈડના નવા સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. અન્ય વિકાસકાર્યોને ગતિ આપવા અને મુસાફરોની સુવિધા જાળવી રાખવા માટે રેલવે તંત્ર દ્વારા આગામી 20 જાન્યુઆરી 2026 થી 15 એપ્રિલ 2026 સુધી સ્ટેશન પર અવરજવર માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. પ્રસ્થાન કરનાર મુસાફરો માટેની વ્યવસ્થા: ટ્રેન પકડવા આવતા મુસાફરોના વાહનોનો પ્રવેશ MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીક 'ગ્રીન લાઇન' થી કરવામાં આવશે. મુસાફરો નવનિર્મિત બિલ્ડિંગમાં પ્રવેશ કરી લિફ્ટ, એસ્કેલેટર કે સીડી દ્વારા Second Floor પર પહોંચી ત્યાંથી તમામ પ્લેટફોર્મ પર જઈ શકશે. વાહનોને ડ્રોપ કર્યા બાદ વર્તમાન પ્રવેશ દ્વારથી બહાર નીકળવાનું રહેશે. આગમન કરનાર મુસાફરો માટેની વ્યવસ્થા: સ્ટેશન પર ઉતરતા મુસાફરો માટે મહેસાણા સાઈડના ફૂટ ઓવર બ્રિજ નજીક 'પર્પલ લાઇન' થી નિકાસની વ્યવસ્થા કરાઈ છે. આજ સ્થળે પિક-અપ ઝોન અને તેની નજીક 2 સ્થળોએ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. પ્લેટફોર્મ અને બિલ્ડિંગ સુવિધાઓ: સ્ટેશનના PF-1 થી PF-7 સુધીના તમામ પ્લેટફોર્મ 2 ફૂટ ઓવર બ્રિજથી જોડાયેલા છે, જ્યાં લિફ્ટની સુવિધા પણ છે. નવી બિલ્ડિંગના Ground Floor પર UTS ટિકિટ, First Floor પર PRS બુકિંગ અને Second Floor પર પ્રતીક્ષાલયની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન સૂચક ચિહ્નો અને રેલવે કર્મીઓની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે.
રાજકોટ ખાતે આયોજિત 5 દિવસીય 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન'માં ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ પ્રદર્શનમાં જાયન્ટ કોર્પોરેટ્સથી લઈને લઘુ ઉદ્યોગો, કૃષિ, આરોગ્ય અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. બંસી દેવાણીના માર્ગદર્શન હેઠળ M.Tech. અને Ph.D. ના 41 વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહીં 'લોકલ ટુ વોકલ'ની વિભાવના સાકાર થતી જોવા મળી છે. ખાસ કરીને ખેતીમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત સેન્સર્સ, સોઇલ હેલ્થ અને મોઇશ્ચર ડેટા એનાલિસિસના પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓને ભવિષ્યના સંશોધનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બીજી તરફ, મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના વિદ્યાર્થી એક્સેલે હિન્દીમાં 'કૈસે હૈ આપ લોગ' કહી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. B.Tech. Electrical ના આ વિદ્યાર્થીએ બ્લ્યુ રિવોલ્યુશન અને ગ્રીન એનર્જી જેવા સેક્ટરમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેણે આ ઇવેન્ટને ગુજરાત માટે 'ગેમ ચેન્જર' ગણાવી હતી અને ભવિષ્યમાં ગુજરાતમાં જ કરિયર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક્સેલે વધુમાં ઉમેર્યું કે, આફ્રિકન દેશોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે ખૂબ જ આદર છે અને તેઓ હંમેશા આફ્રિકાના વિકાસ માટે તત્પર રહે છે. એક્ઝિબિશનમાં 6 વિશાળ ડોમમાં રિલાયન્સ, એસ્સાર, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને વનતારા જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનોના પેવેલિયન રાખવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો, સેલ્ફી પોઈન્ટ્સ અને ગેમ ઝોન યુવા મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ રહ્યા હતા. આમ, આ એક્ઝિબિશને ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચે સેતુ બાંધવાનું મહત્વનું કાર્ય કર્યું છે.
શહેરના અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારમાં અસામાજિક તત્વોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા છે. જૂનાગઢ એલ.સી.બી. ઓફિસની સામે આવેલા પેટ્રોલ પંપ પર રિક્ષાચાલક નદીમભાઈ હિંગોળા પર બે શખ્સોએ છરી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. રિક્ષા રીવર્સ લેતા જ થયો ડખ્ખો ફરિયાદી નદીમભાઈ હબીબભાઈ હિંગોળાએ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાંથી નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત સાંજે પોણા સાતેક વાગ્યે તેઓ પોતાની ઓટોરિક્ષા લઈને એલ.સી.બી. ઓફિસ સામેના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા ગયા હતા. પેટ્રોલ પંપના કર્મચારીએ રિક્ષા બીજી સાઈડ લેવાનું કહેતા નદીમભાઈએ રિક્ષા રીવર્સમાં લીધી હતી. આ સમયે પાછળ કાળા કલરના એક્ટિવા પર આવેલા બે શખ્સોએ 'દેખાતું નથી' તેમ કહી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. એક્ટિવાની ડીકીમાંથી છરી કાઢી માથા અને પગમાં ઝીંકી દીધી ગાળાગાળી વધતા એક્ટિવા ચાલક નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પેટ્રોલ પંપ પર પડેલો પ્લાસ્ટિકનો પાઈપ લઈને નદીમભાઈને ફટકારવા લાગ્યો હતો. નદીમભાઈએ પોતાનો બચાવ કરવા હવાનું મશીન આડું રાખ્યું તો નવાઝના સાથીદાર સુલતાન કાસમભાઈ કટારીયાએ પણ પાઈપ વડે હુમલો કર્યો હતો. આટલેથી ન ધરાતા આરોપી નવાઝે એક્ટિવાની ડીકીમાંથી છરી કાઢી નદીમભાઈના માથાના ભાગે અને ડાબા પગના ગોઠણ ઉપર હુલાવી દીધી હતી. માથામાં ચાર ટાંકા આવ્યા, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં નદીમભાઈને તેમનો મિત્ર સાહિલ શેખ રિક્ષામાં બેસાડી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેમને માથામાં ચાર ટાંકા આવ્યા છે. આરોપી નવાઝે જતી વખતે ધમકી આપી હતી કે મારી સામે બોલવામાં ધ્યાન રાખજે, બાકી જાનથી મારી નાખીશ નવાઈની વાત એ છે કે આરોપી સુલતાન કટારીયા પણ હોસ્પિટલમાં સારવારમાં દાખલ હોવાનું સામે આવ્યું છે.નદીમભાઈની ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ અને સુલતાન કાસમભાઈ કટારીયા વિરુદ્ધ ગંભીર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 17 થી 20 જાન્યુઆરી દરમિયાન બીસીસીઆઈ (BCCI) ની પ્રતિષ્ઠિત અન્ડર-19 કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલ મેચ યોજાશે. આ મુકાબલો ગુજરાત અને મધ્ય પ્રદેશની ટીમો વચ્ચે રમાશે. વલસાડ ક્રિકેટના ઇતિહાસમાં આ મેચ અનેક રીતે ખાસ બની રહેશે. આ મેચમાં પ્રથમ વખત HOKAI કેમેરા અને DRS (Decision Review System) નો ઉપયોગ કરવામાં આવશે. મેચના જીવંત પ્રસારણ માટે મેદાન પર કુલ 18 કેમેરા ગોઠવવામાં આવશે, જે પ્રેક્ષકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ કરાવશે. આ ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ટીવી અને જિયો હોટસ્ટાર પર વિશ્વભરમાં કરવામાં આવશે. મેચ દરમિયાન ભારતીય જુનિયર ટીમના સિલેક્ટરો, બીસીસીઆઈના પદાધિકારીઓ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખાસ હાજરી આપશે. બલસાર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (BDCA) ના માનદ મંત્રી જનકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વલસાડની ક્રિકેટ પ્રેમી જનતાને આ મેચ નિહાળવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વલસાડની ઉત્તમ પિચ અને ગ્રાઉન્ડની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ બીસીસીઆઈ દ્વારા આ મહત્વની જવાબદારી વલસાડને સોંપવામાં આવી છે. આથી એક રોમાંચક ક્રિકેટ મુકાબલો જોવા મળશે.
રાજકોટના આંગણે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’માં અત્યારે 700 વર્ષ જૂની ભવ્ય ‘ટાંગલિયા’ હસ્તકલા આકર્ષણનું કેન્દ્ર બની છે. એક સમયે વિસરાતી જતી આ પ્રાચીન કલા હવે માત્ર ગામડાઓ પૂરતી સીમિત ન રહેતા સાત સમંદર પાર હોલીવુડના પડદા સુધી પહોંચી ગઈ છે. આગામી હોલીવુડ ફિલ્મ ‘F1’ માં પણ ટાંગલિયા આર્ટના શર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાતના ગ્રામીણ કલાકારો માટે ગૌરવની ક્ષણ છે. સુરેન્દ્રનગરના દેદાદરા ગામના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર બળદેવભાઈ રાઠોડ આ પ્રદર્શનમાં પોતાની કલા પીરસી રહ્યા છે. તેઓ ગર્વ સાથે જણાવે છે કે, હાથશાળ પર જ્યારે એક-એક દાણો ગૂંથાય છે, ત્યારે માત્ર કાપડ નથી વણાતું, પણ અમારી 7 પેઢીનો વારસો વણાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ મંત્ર અને રાજ્ય સરકારના સતત પ્રોત્સાહનને કારણે આ કલા આજે વૈશ્વિક ફલક પર ચમકી રહી છે. તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ડોક્યુમેન્ટ્રીમાં પણ આ કલાના મહત્વને ખાસ ઉજાગર કરવામાં આવ્યું હતું. ટાંગલિયા કલાની મૌલિકતા જાળવી રાખવા માટે તેને ‘Geographical Indication’ (GI) ટેગનું કવચ પ્રાપ્ત થયું છે. આ કાયદાકીય રક્ષણને લીધે નકલી બનાવટો સામે કલાકારોને સુરક્ષા મળી છે. હવે સુરેન્દ્રનગર જિલ્લાના અધિકૃત કલાકારો સિવાય અન્ય કોઈ આ કલાના નામે વસ્તુઓ વેચી શકતું નથી. આ ટેગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગ્રાહકોનો ભરોસો વધ્યો છે અને કલાકારોને વચેટિયાઓ વગર સીધું જ બજાર અને ઊંચા ભાવ મળી રહ્યા છે. ટાંગલિયાની સૌથી મોટી વિશેષતા તેની ‘દાણા ગૂંથણી’ છે. આ કોઈ મશીન વર્ક કે ઉપરથી કરેલું ભરતકામ નથી, પરંતુ હાથશાળ પર કાપડના વણાટ દરમિયાન જ દોરા સાથે ઉન કે સૂતરના નાના મણકા જેવા ‘ટાંકા’ ગૂંથીને આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. આ કલાની ખૂબી એ છે કે કાપડની બંને બાજુએ ભાત એકસરખી જ દેખાય છે. રાજકોટના ‘સ્વદેશી હાટ’માં બળદેવભાઈએ ‘ડેમો લૂમ’ (નિદર્શન મશીન) ગોઠવ્યું છે, જ્યાં મુલાકાતીઓ આ જટિલ પ્રક્રિયા લાઈવ નિહાળીને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. ‘ગુજરાત રાજ્ય હસ્તકલા અને હાથશાળ વિકાસ નિગમ’ (ગરવી ગુર્જરી) અને ‘હસ્તકલા સેતુ યોજના’ હેઠળ કલાકારોને આધુનિક ડિઝાઈનિંગની તાલીમ આપવામાં આવી છે. જેના પરિણામે, એક સમયે માત્ર ધાબળા સુધી મર્યાદિત રહેલી આ કલા હવે સાડી, કુર્તી, દુપટ્ટા, મફલર, જેકેટ અને કુશન કવર જેવા આધુનિક વસ્ત્રોમાં પણ જોવા મળે છે. આ નવા પરિવર્તનને કારણે યુવા પેઢી અને ફેશન પ્રેમીઓ પણ આ પ્રાચીન કલા તરફ આકર્ષાયા છે. રાજકોટમાં આયોજિત આ પ્રદર્શન માત્ર વ્યાપારનું કેન્દ્ર નથી, પરંતુ વિસરાતી જતી કલાઓને પુનર્જીવિત કરવાનું એક સબળ માધ્યમ બન્યું છે. સરકારના સહયોગથી હવે ગ્રામીણ કલાકારોનો આ વારસો મ્યુઝિયમોમાંથી નીકળીને વૈશ્વિક ફેશન રેમ્પ સુધી પહોંચી ગયો છે.
બોટાદ શહેરમાં આગામી ત્રણ દિવસ એટલે કે 17થી 19 જાન્યુઆરી સુધી પાણી પુરવઠો બંધ રહેશે. GETCO દ્વારા નાવડા હેડ વર્કસ ખાતે મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. બોટાદને પાણી પૂરું પાડતા GWIL હસ્તકના નાવડા હેડ વર્કસ ખાતે GETCO દ્વારા ત્રણ દિવસનો શટડાઉન અને મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીને કારણે ૧૭ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી બોટાદ શહેરમાં પાણી કાપ રહેશે. આ સમયગાળા દરમિયાન શહેરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. બોટાદ નગરપાલિકાએ નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને જરૂરી આગોતરી તૈયારી રાખવા જણાવ્યું છે. નગરપાલિકાએ નાગરિકોને બિનજરૂરી પાણીનો બગાડ ન કરવા અને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે. કામગીરી પૂર્ણ થયા બાદ નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગતરાત્રીના હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા પાંચ ઈસમોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોત નીપજાવ્યું છે. હુમલા બાદ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતુ. પ્રાથમિક તપાસમાં એક્ટિવા માંગવા બાબત ઝઘડાનું કારણ હોવાનું સામે આવ્યું છે. બોરતળાવ પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ હાથ ધરાઈ છે. બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કર્વાટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદની નજીવી બાબતે નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ મામલે મૃતકના દાદાના દીકરા (ભાઈ) મોઈનભાઈ રસુલભાઈ સૈયદ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ ગત તા.15 જાન્યુઆરીના રોજ રાત્રિના આશરે સાડા બાર વાગ્યાના સમયે કાકા જાહીદભાઈના ઘરની નજીક હોબાળો થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં શેરીમાં રહેતા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા અને સાહિલ રસુલભાઈ શાહ સહિતના સાહીલ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. નદીમ અને સલીમ પાસે છરી જ્યારે સાહિલ શાહ પાસે ધારિયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલામાં નદીમે સાહીલના છાતીના ભાગે છરીનો ઘા કર્યો હતો, સલીમે પડખામાં છરી ઘોંપી હતી અને સાહિલ શાહે માથાના ભાગે ધારિયાનો ઘા મારતા સાહીલ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ શાહનવાજ સલીમભાઈ સોરઠીયા અને સીદીક સલીમભાઈ સોરઠીયા લાકડાના ધોકા લઈને આવી સાહીલ પર આડેધડ માર માર્યો હતો તેમજ ઘરની ઉપર પથ્થરમારો કરી સાહીલની એક્ટિવા અને ફરિયાદીની રીક્ષામાં તોડફોડ કરી હતી. ગંભીર રીતે લોહી લુહાણ બનેલા સાહીલને પહેલા રીક્ષામાં અને બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી નદીમ દ્વારા એક્ટિવા માંગવામાં આવી હતી અને ઇનકાર કરતા આ ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક બોરતળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ બનાવમાં સંડોવાયેલા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા તથા સીદીક સલીમભાઈ સોરઠીયા વિરુદ્ધ BNS કલમ 103(1), 125(a), 125(b), 324(4), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આજે(16 જાન્યુઆરી) રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવાની છે, જેમાં અનેક તાત્કાલિક અને વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની છે. ગાંધીનગરમાં ટાઈફોઈડની વર્તમાન પરિસ્થિતિને લઈ કેબિનેટમાં વિશેષ સમીક્ષા કરવામાં આવશે. આ મુદ્દે આરોગ્ય વિભાગ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવશે. અભિનંદન પ્રસ્તાવ પસાર કરાશેકેબિનેટ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના ગુજરાત પ્રવાસ તેમજ તેમના હસ્તે લોકાર્પણ થયેલા વિવિધ વિકાસ કામો બદલ અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે. બજેટને લઈ તમામ વિભાગોને નવી યોજનાઓ-પ્રસ્તાવોની વિગતો રજૂ કરવાની સૂચના અપાશેરાજકોટ રિજનલ વાયબ્રન્ટ સમિટની સફળતા અંગે મુખ્યમંત્રી કેબિનેટ સમક્ષ વિસ્તૃત વિગતો રજૂ કરશે. સાથે સાથે આગામી રાજ્ય બજેટને ધ્યાનમાં રાખી તમામ વિભાગોને નવી યોજનાઓ અને પ્રસ્તાવોની વિગતો તાત્કાલિક રજૂ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવશે. જૂના બજેટ અને નવા બજેટની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા વિકાસલક્ષી કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના અપાશેનાણાં વિભાગ સાથે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી વિશેષ પરામર્શ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા વિકાસલક્ષી કામોને ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી તમામ વિભાગોને કડક સૂચનાઓ આપશે. ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ સંબંધિત કામો પણ સમયસર પૂરા થાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં આરોગ્ય, વિકાસ, બજેટ અને કાયદો-વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશેરાજ્યની પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી કેબિનેટને વિગતવાર માહિતી આપશે. કુલ મળીને આજની કેબિનેટ બેઠકમાં આરોગ્ય, વિકાસ, બજેટ અને કાયદો-વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી સંભાવના છે.
ભાવનગરમાં ગાડી ન આપતા યુવાનની હત્યા:કુંભારવાડામાં ઘાતક હથિયારોથી હુમલો, 5 સામે ગુનો નોંધાયો
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગાડી આપવાની ના પાડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ એક યુવાનની હત્યા કરવામાં આવી છે. પાંચ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આરોપીઓએ સાહિલ નામના યુવાન પાસે ગાડીની માંગણી કરી હતી. સાહિલે ગાડી આપવાની ના પાડતા નદીમ સોરઠીયા, સલીમ સોરઠીયા, શાહનવાઝ સોરઠીયા, મહમદ સદીક અને સાહિલ ઘાંચી નામના પાંચ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. આ પાંચેય શખ્સોએ છરી, તલવાર અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે સાહિલ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાહિલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના દરમિયાન આરોપીઓએ વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાંચેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જીથુડી ગામે રાજ્યના ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે રૂપિયા 26 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યોમાં મંદિર પાસે બ્લોક રોડ, સીસી રોડ, કોઝવે અને પાઇપલાઇન સહિતના માળખાકીય કામોનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય જીથુડી ગામનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ કામો પૂર્ણ થવાથી ગામના નાગરિકોને આવાગમન, સુરક્ષા અને રોજિંદા જીવનમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રસંગે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમરેલી જિલ્લાનો સંતુલિત વિકાસ સરકારની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે, ગામડાઓ સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચે, લોકોનું જીવનસ્તર ઊંચું આવે અને ગ્રામ્ય વિસ્તારો વિકાસની મુખ્ય ધારા સાથે જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આવા વિકાસકાર્યોના અમલથી ગ્રામ્ય જીવનમાં સુખાકારી વધશે, યુવાનોને નવી તકો મળશે અને સમગ્ર ગામના આર્થિક તથા સામાજિક વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય સેનાના જવાન દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને તેમની વીરતા અને કર્તવ્યનિષ્ઠા બદલ સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગરમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના માધુપુર ગામના વતની દિનેશભાઈને જયપુરમાં આર્મી ડે નિમિત્તે આ સન્માન મળ્યું હતું. દિનેશભાઈએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન અદમ્ય શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. તેમણે મિસાઈલનો ઉપયોગ કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યા હતા. 12મી બટાલિયન ધ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા લાન્સ હવાલદાર દિનેશભાઈ લગારીયાને મે 2025માં (મૂળ માહિતી મુજબ) આતંકવાદી મિસાઈલ હુમલો નિષ્ફળ બનાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. સતત ગોળીબાર વચ્ચે, તેમણે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલની મદદથી નિર્ધારિત લક્ષ્યને નષ્ટ કર્યું, જેનાથી દુશ્મનની ક્ષમતાઓને મોટો ફટકો પડ્યો અને તેમની યોજનાઓ નિષ્ફળ બની. તેમના આ અધિક સાહસ અને સંગઠન પ્રત્યેની અતૂટ નિષ્ઠા બદલ તેમને સેના મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિથી જામનગર અને સમગ્ર હાલાર પ્રદેશનું ગૌરવ વધ્યું છે.
અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષા અંગેનો ભય દૂર કરવો અને તેમને બોર્ડની પરીક્ષા પદ્ધતિથી સંપૂર્ણ રીતે વાકેફ કરાવવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવામાં આવી છે. આજથી આગામી 22 જાન્યુઆરી સુધી આ પરીક્ષા ચાલશે. જેમાં 47 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓનું તિલક કરી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં તણાવ-ભયનો માહોલ દૂર કરવાનો પ્રયાસબોર્ડની પરીક્ષા નજીક આવતાં ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં તણાવ અને ભયનો માહોલ જોવા મળતો હોય છે. ખાસ કરીને પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે ડરના કારણે સરખી તૈયારી પણ કરી શકતા નથી. જેના કારણે તેઓ પોતાની તૈયારી હોવા છતાં સારું પ્રદર્શન પરીક્ષા સમયે કરી શકતા નથી. તેમજ બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા, સમય નિયંત્રણ, જવાબ લખવાની પદ્ધતિ જેવી બાબતો અંગે અજાણ હોવાના કારણે વિદ્યાર્થીઓ ઘણી ભૂલો કરતા હોય છે. આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષા મહત્વપૂર્ણ સાબિત થાય છે. વિદ્યાર્થીઓને લિંક મોકલી હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરાવડાવીપ્રિ-બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લિંક મોકલી હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. જેથી બોર્ડની હોલ ટિકિટ કેવા પ્રકારની હોય છે તેનાથી વિદ્યાર્થીઓ પણ વાકેફ થઈ શકે. બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, હોલ ટિકિટ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. પરીક્ષાના પહેલા દિવસે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ હાજર રહીને વિદ્યાર્થીઓને ફુલ આપી મોઢું મીઠું કરાવીને આવકાર્યા હતા. બોર્ડની પરીક્ષા જેવો માહોલ પ્રિ-બોર્ડની પરીક્ષામાં જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના ચહેરા પર બોર્ડની પરીક્ષાનો ડર દૂર થઈ ગયો હોય તેવું પણ લાગી રહ્યું હતું. બોર્ડની પરીક્ષા જેવી પદ્ધતિથી જ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજનપ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન બોર્ડની પરીક્ષા જેવી જ પદ્ધતિથી કરવામાં આવ્યું છે. પ્રશ્નપત્રોની રચના, સમયગાળો, બેઠક વ્યવસ્થા અને પરીક્ષા શિસ્ત બોર્ડની જેમ જ રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓે વાસ્તવિક બોર્ડ પરીક્ષાનો અનુભવ કરી શકે. અંગ્રેજી, ગુજરાતી, ગણિત (સ્ટાન્ડર્ડ અને બેઝિક), વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામાં આવી રહી છે. પ્રિ-બોર્ડની પરીક્ષાથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે: વિદ્યાર્થિનીધોરણ 10ની વિદ્યાર્થિની તન્વી ચુડાસમાએ જણાવ્યું હતું કે, પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષા આપવાથી અમને તેનો અનુભવ થશે. પ્રિ-બોર્ડ પરીક્ષાના કારણે અમને ઘણો ફાયદો થવાનો છે. જેથી અમે કોઈપણ માનસિક તણાવ વગર બોર્ડની પરીક્ષા આપી શકીશું. પરીક્ષામાં શું કરવું તેનો ડર રહેતો હોય છે. પ્રિ-બોર્ડ દ્વારા ખબર પડશે કે કેવી રીતે બોર્ડની પરીક્ષા આપી શકાય તેની પદ્ધતિ શું છે તેનો ખ્યાલ આવશે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ: શહેર DEOઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સતત ચોથા વર્ષે જે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપતા હોય છે. તેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અમદાવાદ શહેરની 551 જેટલી શાળાઓમાં 47,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેથી હવે અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રિ -બોર્ડની પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થતો હોય છે.
જૂુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બારા રોડ પરથી પસાર થઈ રહેલા પિતા-પુત્ર પર જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ખેતીકામ પતાવી ઘરે પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં રોકી, પિતા-પુત્રને 800 મીટર સુધી દોડાવીને માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભોગ બનનાર યુવાને અન્યના ઘરમાં ઘૂસીને પોતાનો જીવ બચાવ્યો હતો. વાડીએથી પરત ફરતા સમયે હુમલો ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી ઇબ્રાહિમ આદમ જેઠવા અને તેમનો પુત્ર ફેઝાન વહેલી સવારે બારા રોડ પર આવેલી પોતાની વાડીએ પાણી વાળવા ગયા હતા. બપોરના સમયે જ્યારે તેઓ કામ પતાવીને જમવા માટે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જેતલબમ રોડ પર સોયેબ બેટરીવાળાની દુકાન પાસે આરોપીઓએ તેમની મોટરસાયકલ આડી રાખી રસ્તો રોક્યો હતો. પિતાની ગરદન પકડી, પુત્રને 700-800 મીટર સુધી દોડાવ્યો ભોગ બનનાર ફેઝાન જેઠવાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, સુલેમાનભાઈ ભાટા અને તેમના બે પુત્રો ઇરફાન અને ઇલ્યાસે અમને અચાનક રોકી લીધા હતા. આરોપીઓએ મારા પપ્પાની ગરદન પકડી લીધી હતી અને તેમને ઢીકા-પાટુ તેમજ ઝાપટ વડે બેફામ માર માર્યો હતો. આરોપીઓ પાસે ધારિયા, લાકડીઓ અને પથ્થરો જેવા જીવલેણ હથિયારો હતા. મને પણ જાનથી મારી નાખવાના ઈરાદે તેઓ પાછળ પડ્યા હતા. હું મારો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યો, છતાં આરોપીઓએ 700 થી 800 મીટર સુધી મારો પીછો કર્યો હતો. અન્યના ઘરમાં છુપાઈને બચાવ્યો જીવ ફેઝાનના જણાવ્યા અનુસાર, સ્થિતિ એટલી ગંભીર હતી કે તેણે જીવ બચાવવા માટે રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિના ઘરમાં આશરો લેવો પડ્યો હતો. હુમલાખોરો ત્યાં પણ પહોંચી ગયા હતા અને ઘરના સભ્યોને ધમકાવીને ફેઝાનને બહાર કાઢવા દબાણ કર્યું હતું. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે ફેઝાનનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન ફેઝાન દ્વારા હુમલાખોરોનો વીડિયો પણ મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો છે. આ હુમલા પાછળ અગાઉ થયેલા પોલીસ કેસનું મનદુઃખ હોવાનું જાણવા મળ્યું છે. માંગરોળ પોલીસે આ મામલે સુલેમાનભાઈ ભાટા, ઇરફાન ભાટા અને ઇલ્યાસ ભાટા વિરુદ્ધ વિવિધ કલમો 115(2) (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 296(બબી) (અશ્લીલ કૃત્યો/ગાળો), 351(3) (ગુનાહિત ધમકી) અને હથિયારબંધીના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. હાલ ઇબ્રાહિમભાઈને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પુત્ર ફેઝાન કહે છે કે, અમને ખબર નથી કે આટલી હદે કેમ હુમલો કરવામાં આવ્યો. અમે તો માત્ર ખેતીકામ કરીને ઘર ચલાવીએ છીએ. હવે અમને ડર લાગી રહ્યો છે કે આગળ અમારું શું થશે? અમને ન્યાય મળવો જોઈએ તેવી અમારી માંગ છે. પોલીસે હાલ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે વનરાજાઓના આંટાફેરા સામાન્ય બન્યા છે. ખાસ કરીને ઉનાનું આમોદ્રા ગામ છેલ્લા ઘણા સમયથી સિંહો માટે અનુકૂળ રહેઠાણ બની ગયું હોય તેમ જણાય છે. આજે (16 જાન્યુઆરી) વહેલી સવારે આમોદ્રાની સીમમાં સિંહની ગર્જનાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ડણક સાંભળી સિંહપ્રેમીઓ ઉમટ્યા સામાન્ય રીતે શાંત વાતાવરણમાં સિંહની ડણક 3 કિમીથી વધુ દૂર સુધી સંભળાતી હોય છે. આજે વહેલી સવારે જ્યારે સિંહે ડણક દીધી, ત્યારે સ્થાનિક સિંહપ્રેમીઓ લોકેશન ટ્રેક કરીને સિંહના દર્શન કરવા પહોંચી ગયા હતા. સિંહ જ્યારે ડણક આપે છે ત્યારે તે માત્ર અવાજ નથી કરતો, પરંતુ તે વિસ્તારમાં પોતાની સત્તા અને 'ટેરિટરી' પણ પ્રસ્થાપિત કરતો હોય છે. આ પણ વાંચો, ઉનાના ઝુડવડલીની સીમમાં સિંહ પરિવારના ડેરા:શિકારની શોધમાં 2 સિંહણ, 2 સિંહબાળ મળી 6 સિંહોનું મુક્ત વિચરણ ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી સક્રિયતા ઉના તાલુકો જંગલ વિસ્તારને અડીને આવેલો હોવાથી હવે વનરાજો જંગલ છોડીને માનવ વસાહત અને રેવન્યુ વિસ્તાર તરફ વધુ આકર્ષાયા છે. આમોદ્રા ગામમાં સિંહોએ કાયમી વસવાટ જેવી સ્થિતિ બનાવી લીધી છે. ઘણીવાર શિકારની શોધમાં સિંહો ગામની અંદર પણ આવી ચડે છે અને પાલતુ પશુઓનું મારણ કરવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આ પણ વાંચો, ઉનાના આમોદ્રામાં સિંહની દહેશત:ઘરઆંગણે ગાયનું મારણ કરી વનરાજાએ મિજબાની માણી માનવ-સિંહ સંઘર્ષની ભીતિ જ્યારે સિંહના લોકેશનની જાણ થાય છે ત્યારે મોટી સંખ્યામાં સિંહપ્રેમીઓ અને કુતૂહલવશ લોકો સિંહને જોવા દોડી જાય છે. આ સ્થિતિ સિંહ માટે ખલેલ સમાન બને છે. જ્યારે સિંહને પોતાના કુદરતી રહેઠાણમાં અડચણ અનુભવાય છે, ત્યારે તે વધુ આક્રમક બનીને ગામની અંદર અથવા માનવ વસાહત તરફ ધસી જાય છે, જે સંઘર્ષનું કારણ બની શકે છે. સ્થાનિકોની માગ આમોદ્રા વિસ્તારમાં સિંહોની કાયમી અવરજવરને જોતા સ્થાનિકોમાં બે પ્રકારની લાગણી છે. એક તરફ સિંહ હોવાનો ગર્વ છે, તો બીજી તરફ સુરક્ષાની ચિંતા છે. નિયમિત પેટ્રોલિંગ: વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. સલામતી: જો વન વિભાગ સક્રિય રહે તો સિંહની સલામતી પણ જળવાશે અને ગ્રામજનો સાથે થતો સંઘર્ષ અટકાવી શકાશે. વન્યપ્રાણી પ્રેમીઓને વિનંતી છે કે સિંહના લોકેશન પર જઈ તેમને ખલેલ ન પહોંચાડે, તે સિંહ અને માણસ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સૌપ્રથમ બપોરના આશરે 2 વાગ્યા આસપાસ સરદારનગર ઓડિટોરિયમ ખાતે મહાનગરપાલિકાના રૂ.156 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનહિતલક્ષી વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. ત્યારેબાદ બપોરે 4 આસપાસએ જવાહર મેદાન ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ભાવનગર-બોટાદ જિલ્લાના 2700 જેટલા દિવ્યાંગ મિત્રોને આત્મનિર્ભર બનાવવા માટે સાધન સહાય પૂરી પાડવામાં આવશે. 156 કરોડના 23 વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આશરે રૂ.156.01 કરોડના કુલ 23 વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે, જેમાં રૂ.150.45 કરોડના ખર્ચે 20 કામોના ખાતમુહૂર્ત અને રૂ.5.56 કરોડના 3 કામોના લોકાર્પણનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ્સ 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના', 'અમૃત 2.0' અને 'SBM 2.0' જેવી મહત્વકાંક્ષી યોજનાઓ હેઠળ સાકાર થઈ રહ્યા છે, સ્માર્ટ અને લિવબલ સિટી તરફનું મક્કમ ડગલું ભાવનગરની ઐતિહાસિક ઓળખને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે જોડીને શહેરને વધુ જીવંત અને સુવિધાયુક્ત બનાવવાની દિશામાં મહાનગરપાલિકા દ્વારા 23 જેટલા કામો ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અને ‘અમૃત 2.0’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓના માધ્યમથી શહેરના છેવાડાના વિસ્તારો સુધી સુવિધાઓ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, પીવાના પાણીના પ્રશ્નોના નિવારણ માટે નવા ઈ.એસ.આર. (ટાંકી) અને પાઈપલાઈન નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી અકવાડા, રુવા અને અધેવાડા જેવા વિસ્તારોમાં પાણીનો પુરવઠો વધુ નિયમિત અને દબાણયુક્ત બનશે, ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે અંડરબ્રિજ, ફોર-લેન પેવર રોડ અને સિદસર વિસ્તારને જોડતા અત્યાધુનિક પી.ક્યુ.સી. રોડનું આયોજન શહેરની પરિવહન વ્યવસ્થાને વેગ આપશે, પર્યાવરણની સુરક્ષા માટે CD વેસ્ટ પ્લાન્ટ અને સામાજિક વિકાસ માટે કમ્યુનિટી હોલ, ફૂડ પાર્ક તથા ફ્લાય ઓવર નીચે સ્પોર્ટ્સ એરિયા જેવા પ્રોજેક્ટ્સ ભાવનગરની સુંદરતામાં વધારો કરશે, આ વિકાસલક્ષી કાર્યો ભાવનગરને રહેવા માટે એક ઉત્તમ, સ્વચ્છ અને સ્માર્ટ શહેર બનાવવાની દિશામાં આગળ વધશે,. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ સહાયક સાધનોનું વિતરણ ભારત સરકારના ADIP યોજના અંતર્ગત એલ્મિકો દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લામાં એસેસમેન્ટ કેમ્પોનું આયોજન કરી 2700 જેટલાં દિવ્યાંગજનોને 19 જેટલાં સાધન સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, આ તમામ લાભાર્થીઓ આવી યોજનાનો પૂરતો લાભ લઈ શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, ભાવનગર જિલ્લામાં શિહોર અને પાલીતાણા તેમજ બોટાદ જિલ્લામાં ત્રણ કેમ્પોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 825 દિવ્યાંગજનોને કુલ રૂ.121.20 લાખની કિંમતના 1577 સાધનો આપવામાં આવ્યા હોવાની જાણકારી આપી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.1,11,62,493 કિંમતના 1,017 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે 1,637 જેટલાં વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.
પાટણમાં પતંગ બાબતે બોલાચાલી: મહિલા પર હુમલો:જૂની અદાવતમાં લાકડીના ફટકા, ત્રણ સામે ફરિયાદ
પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં પતંગ પકડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનું વેર રાખીને એક મહિલા પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના 15 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી, જ્યારે પાટણના ખાલકપુરામાં રહેતા મેનાબેન દેવસંગજી ઠાકોર પોતાના ઘર પાસે રસોઈ બનાવી રહ્યા હતા. હુમલાનું કારણ 14 જાન્યુઆરી, 2026ના રોજ મેનાબેનના પૌત્ર જયદીપના પતંગ લેવા બાબતે પડોશમાં રહેતા શખ્સો સાથે થયેલી બોલાચાલી હતી. આ જૂની અદાવત રાખીને 15 જાન્યુઆરીએ બપોરે ટીનાજી બેચરજી ઠાકોર લાકડી (ધોકો) લઈને આવ્યા હતા. તેમણે મેનાબેનના જમણા હાથના પંજા પર ફટકો માર્યો હતો. આ દરમિયાન યોગેશજી બેચરજી ઠાકોર અને બચીબેન બેચરજી ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે મહિલાને બિભત્સ ગાળો આપી હુમલામાં મદદગારી કરી હતી. મહિલાનો દીકરો વિજયજી ત્યાં આવી જતાં આરોપીઓ પોતાના ઘર તરફ જતા રહ્યા હતા. ઈજાગ્રસ્ત મેનાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ મામલે પાટણ સિટી પોલીસે મેનાબેન ઠાકોરની ફરિયાદના આધારે ટીનાજી ઠાકોર, યોગેશજી ઠાકોર અને બચીબેન ઠાકોર વિરુદ્ધ બી.એન.એસ.એસ.ની કલમ 115(2), 296(b), 54 તથા જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ પણ કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર શિવાભાઇ ચૌધરી કરી રહ્યા છે.
સોમનાથ સ્વાભિમાન પર્વની સંગીતમય પૂર્ણાહૂતિ:અલ્પા પટેલે શિવ આરાધનાથી શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 8 જાન્યુઆરીથી પ્રભાસ તીર્થ ખાતે શરૂ થયેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની સંગીતમય સંધ્યા સાથે પૂર્ણાહૂતિ થઈ હતી. આ પર્વ ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન હતું, જે ઋષિ કુમારોના શંખનાદ અને 72 કલાકના ઓમકારની ગૂંજ વચ્ચે યોજાયું હતું. સોમનાથ પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષના સુભગ સમન્વય અંતર્ગત આયોજિત આ પર્વના અંતિમ દિવસે લોકગાયક અલ્પા પટેલે શિવ આરાધના રજૂ કરી હતી. તેમના કોકિલકંઠી સૂરોથી શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા હતા. અલ્પા પટેલે 'જય સોમનાથ'ના અભિવાદન સાથે 'સૌરાષ્ટ્રે સોમનાથ...', 'મુજે દર્શન દો ભોલેનાથ...', 'રામ સીયા રામ... જય જય રામ', 'શૈલશુંગ સમ વિશાલ, જટાજૂટ ચંદ્રભાલ...', 'આરંભ હૈ પ્રચંડ બોલે મસ્તકો કે ઝૂંડ...' અને 'હર હર શંભુ ભોળા...' સહિતની અનેક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. તેમણે વીરરસભર્યા લોકગીતો દ્વારા ભારતમાતાની રક્ષા કરતા શૂરવીર સૈનિકોને યાદ કર્યા હતા. આ ઉપરાંત, સોમનાથની રક્ષા કાજે લડેલા હમીરજી ગોહિલ જેવા યોદ્ધાઓ અને સોમનાથના જીર્ણોદ્ધારને શક્ય બનાવનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના વીર વ્યક્તિત્વોનું પણ ભાવસ્મરણ કર્યું હતું.
આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઇ! મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો
Donald Trump Nobel Prize : વેનેઝુએલામાં ચાલી રહેલા ગંભીર રાજકીય સંકટ વચ્ચે, વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મુલાકાત બાદ મચાડોએ દાવો કર્યો કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે. આ બહુચર્ચિત બેઠક ગુરુવારે વ્હાઇટ હાઉસમાં લંચ પર યોજાઈ હતી, જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ થઈ છે. એક કલાકથી વધુ ચાલેલી ચર્ચા બાદ જ્યારે મચાડો વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
બોટાદ ARTOનો સપાટો:માર્ગ સલામતી ભંગ કરનારા વાહનચાલકો સામે લાલઆંખ
બોટાદ જિલ્લામાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે એઆરટીઓ બોટાદ દ્વારા સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર અંકુશ લાવવાનો અને નાગરિકોમાં સુરક્ષિત વાહનવ્યવહાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતોત. આ ચેકિંગ દરમિયાન માર્ગ સલામતી સંબંધિત અનેક ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ખાસ કરીને વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવી, ખોટી દિશામાં ડ્રાઇવિંગ કરવું, નૉ પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું, તેમજ હેલ્મેટ અને સીટબેલ્ટ વિના વાહન ચલાવવું જેવા નિયમભંગ કરનારાઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યાં હતાં. ઉપરાંત, વાહનોમાં ગેરકાયદેસર રીતે LED લાઇટ્સ લગાવીને ચાલતાં વાહનો પણ તપાસ દરમિયાન ઝડપાયા, જેમના સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ડ્રાઇવરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને ભવિષ્યમાં આવા ઉલ્લંઘનો ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એઆરટી ઓ બોટાદ દ્વારા હાથ ધરાયેલાં આ સઘન ચેકિંગ અભિયાનથી વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધે તેમજ અકસ્માતોની સંભાવના ઘટે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ કામગીરી દ્વારા સુરક્ષિત અને વ્યવસ્થિત વાહનવ્યવહારનો સંદેશ જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો.
સાળંગપુર ખાતે અખિલ ભારતીય મીડ ડે મીલ યોજના કર્મચારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી.ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના વિવિધ સંગઠનો અને કર્મચારીઓની એક મહત્વપૂર્ણ ચિંતન બેઠક યોજાઈ હતી. બોટાદ જિલ્લા સંઘ દ્વારા આયોજિત આ બેઠકમાં રાજ્યના 72 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સંચાલકો અને જિલ્લા-તાલુકાના હોદ્દેદારો ઉમટી પડ્યા હતા. બેઠકનો મુખ્ય સૂર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ખાનગીકરણના વિરોધમાં રહ્યો હતો. ખાનગીકરણથી સામાજિક સમરસતાને ખતરો બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, ભારત સરકારના રાજપત્ર અને સુપ્રીમ કોર્ટના 2001ના ચુકાદા મુજબ શાળામાં જ ભોજન બનાવવાની સુવિધા હોવી જોઈએ. તેમ છતાં ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી મૂડી ખર્ચ કરી, ગુજરાત બહારની ખાનગી સંસ્થાઓને 50 કિમીના અંતરે ‘સેન્ટ્રલ કિચન’ના પ્રોજેક્ટ સોંપી રહી છે. આ નિર્ણયથી સામાજિક સમરસતાના મૂલ્યો નષ્ટ થશે. ઉપર મુખ્ય માંગણીઓ અને આંદોલનની ચીમકી
મારામારીનો મામલો:મહુવાના જુના કુંભારવાડામાં પતંગ કપાતા બે પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી સર્જાઇ
જુના કુંભારવાડા નગરી વાળો ખાંચો માં રહેતા મૂળજીભાઈ મેઘજીભાઈ સોલંકી ના દીકરાઓ મકરસંક્રાંતિના દિવસે પોતાના ઘરે પતંગ ચગાવતા હતા ત્યારે તેની બાજુમાં જ રહેતા રાહુલભાઈ મુન્નાભાઈ મકવાણા પણ તેના ઘરે પતંગ ચગાવતો હતો. તે દરમિયાન તેના પતંગો કપાઈ જવા બાબતે તેઓ બંને વચ્ચે બોલાચાલી થતા તેની દાજ રાખી થયેલ ઝઘડામાં મૂળજીભાઈ ના દીકરા વિજયને દવાખાને લઈ જવાતો હતો ત્યારે આ રાહુલ ઉપરાંત ગોપાલભાઈ ધીરુભાઈ સોલંકી, ચેતનભાઇ ધનજીભાઈ વાજા, બુધાભાઈ કાળુભાઈ મકવાણા અને કેતનભાઇ મુન્નાભાઈ એ એક સંપ કરી મૂળજીભાઈ ને તથા તેના દીકરાઓને લાકડીઓ તથા ધોકા વડે માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જ્યારે સામા પક્ષે આ વિસ્તારમાં જ રહેતા રાહુલભાઈ મુન્નાભાઈ મકવાણા એ પણ આ તહેવારના અનુસંધાને પતંગ કપાઈ જવાના કારણે વિજયભાઈ મૂળજીભાઈ સોલંકી, રોનકભાઈ મૂળજીભાઈ સોલંકી, મૂળજીભાઈ સોલંકી અને વિજયભાઈ શિયાળ એ આ બાબતે જ ઝઘડો કરી ગાળો આપી ઢોલ થપાટ અને મુંઢ માર મારી બ્લોકના ઘા કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસમાં નોંધાઇ હતી.
સન્માન:જિલ્લાના 59 શિક્ષકોનું શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરાયુ
ધ સ્કૂલ ઓફ સાયન્સ અને નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સારસ્વત સન્માન 2026 કાર્યક્રમ અંતર્ગત શિક્ષણક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી ગુજરાતના કરનાર સમગ્ર પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવસભર કાર્યક્રમ પાલનપુર ખાતે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમા શિક્ષણની ગુણવત્તા વધારવા, નવીન અભિગમ અપનાવવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર કામગીરી બદલ ભાવનગર જિલ્લાના શિક્ષકોને પ્રમાણપત્ર, મેડલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા તથા તેમની ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ તમામ શિક્ષકોને પોતાની નિષ્ઠા સમર્પણ અને પ્રતિબદ્ધતા દ્વારા ભાવનગર જિલ્લાનું નામ ગૌરવ પૂર્વક રોશન કર્યુ. જેમાં સિહોર તાલુકાની ધ્રુપકા પ્રા. શાળાના હિંમતભાઇ એસ.રાઠોડ અને જિતેન્દ્રકુમાર દવે, અમરજિતસિંહ પરમાર(વલભીપુર), લીલાબેન ઠાકરડા(વલભીપુર)નું ગુજરાત સારસ્વત સન્માનથી સન્માન કરવામાં આવેલ.
આપઘાતનો મામલો આવ્યો સામે:સિહોર તાલુકાના વરલ ગામે પતિના ત્રાસથી કંટાળી પત્નિએ આપઘાત વ્હોરી લીધો
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે રહેતી પરિણીતાએ તેના પતિના શારિરીક તેમજ માનસિક ત્રાસથી કંટાળી ગઇકાલે ઘરે એસીડ પી આપઘાત કરી લેતા પરિણીતાના પિયરમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જેને લઇને મૃતકના ભાઇએ તેના બનેવી વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ છુટાછેડા લીધા હતા અને બાદમાં ફરી પતિએ ફોસલાવી પરિણીતાને ત્રાસ નહીં આપે તેવી શરતે સાસરીમાં લઇ જઇ ફરી મારઝુડ કરતા પરિણીતાને મરવા મજબૂર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં મૃતકના ભાઇએ જણાવ્યું હતું. બોટાદ જિલ્લાના ટીંબલા (બેલા) ગામે રહેતા રૂપલબેનના સને 2014માં સિહોરના વરલ ખાતે રહેતા લાલજીભાઇ રાજુભાઇ મકવાણા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાન ન થતા હોય જેથી તેમના પતિ અવાર નવાર શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. જેથી તેઓ કંટાળી જઇને પતિ સાથે છુટાછેડા લઇ અન્ય યુવક સાથે બીજા લગ્ન કરી ગલસાણા ગામે રહેવા જતા રહ્યા હતા. જે દરમિયાન તેમના પૂર્વ પતિ લાલજીભાઇએ ફરી રૂપલબેનને ફોસલાવી, શારિરીક તેમજ માનસિક ત્રાસ નહીં આપે તેવી શરતે ફરી રૂપલબેન સાથે લગ્ન કરી, સાસરીયામાં લઇ આવ્યા હતા. જે બાદ ફરી રૂપલબેનને મારઝૂડ કરી ત્રાસ આપતા, રૂપલબેને ગઇકાલે પોતાના ઘરે જાતેથી એસીડ પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા રૂપલબેનના ભાઇ નિલેશભાઇ ભોરણીયાએ તેમના બનેવી લાલજી રાજુભાઇ મકવાણા વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આત્મનિર્ભર હણોલ મહોત્સવ:રાસાયણિક ખેતીના દુષ્પરિણામથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવો : રાજ્યપાલ
રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની અનિવાર્ય જરૂરિયાત છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે એવી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે તેમ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતુ. રાજ્યપાલે જણાવ્યું હતું કે જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ સમયસર ઘટાડવામાં નહીં આવે તો આવનારા સમયમાં જમીન બિનઉપજાઉ બની જશે. એક હેક્ટર જમીનમાં માત્ર 13 કિલો નાઈટ્રોજન નાખવાની ભલામણ કરી હતી, જ્યારે આજે યુરીયા અને ડીએપીના અતિશય વપરાશના કારણે જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે તેમજ કેન્સર જેવા રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પ્રારંભમાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ સૌનું સ્વાગત કરતાં હણોલ તથા આસપાસના તમામ ગામોને પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લેવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતો અને ઉત્કૃષ્ટ ખેતાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.ગાંધી વિચારના પ્રચાર–પ્રસાર માટે આવેલા યુવાનો સાથે હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે, હણોલ ગામ સાચા અર્થમાં સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગામમાં 18 જેટલી જુદી-જુદી જ્ઞાતિના લોકો વસે છે, છતાં અહીં કોઈ ભેદભાવ વિના સૌ એક પરિવારની જેમ જીવન જીવતા જોવા મળે છે. આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અવસરે ગ્રામજનોને સંબોધતાં વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા-સફાઈ અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે એકજૂટ થવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર ઊભું કરોરાજ્યપાલે સરકારી પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કર્યુ અને આજે વહેલી સવારે રાજ્યપાલ હણોલના ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતા તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી હતી. તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હણોલ ગામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયોઆત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રાજ્યપાલ સહિતનાએ રસપૂર્વક નિહાળ્યો હતો. ગામના કલાકારો, યુવક-યુવતીઓ તથા બાળકલાકારો દ્વારા લોકનૃત્ય, લોકસંગીત અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.
ભાવનગર | ભાવનગરથી દિલ્હીની કોઈ જ સીધી ટ્રેઈન નથી. થોડા સમય પહેલા ભાવનગરથી સકુરબસ્તી (દિલ્હી)ની ટ્રાયલ ઓન ડીમાન્ડ ટ્રેઈન શરુ કરેલી તે પણ અજ્ઞાત કારણોસર બંધ કરી દેવામાં આવી છે. માટે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેઈન શરુ થાય તે ભાવનગરના નાગરીકો માટે જરૂરી છે. જે માટે સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે રેલ્વે મંત્રીને પત્ર લખીને ભાવનગરથી દિલ્હીની રેલ્વે માટેની સુવિધાની માંગણી કરી છે. હાલમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે આવતી-જતી (કૂલરેક) ચાલતી ટ્રેઈન દરેક અઠવાડિયામાં માત્ર બે જ દિવસ ચાલે છે અને ચાર દિવસ સુધી બિલ્કુલ ફ્રી પડી રહે છે. આ જ ટ્રેઈન (રેક ) ને ઓછામાં ઓછા અઠવાડિયામાં એક વખત ભાવનગરથી દિલ્હીના કોઈપણ સ્ટેશન સુધી ચલાવી શકાય તેમ છે. આથી અઠવાડિયામાં એક ટ્રેઈન ભાવનગરને સીધી ભાવનગરથી દિલ્હીની મળી શકશે તેવી રજૂઆત શક્તિસિંહ ગોહિલે રેલવે મંત્રીને કરી છે. ભાવનગરથી વેરાવળ અને ભાવનગરથી પોરબંદર વચ્ચે ચાલતી ટ્રેઇનોમાં ઘણું લાંબુ અંતર થતું હોય તે ટ્રેઇનોને એક્સપ્રેસમાં અપગ્રેડ કરવી જરૂરી છે. ભાવનગર ટર્મિનસ ઉપર ટ્રેઇનોના ઇન્સ્પેકશન, સફાઈ અને સામાન્ય રીપેરીંગ માટે માત્ર બે જ પિટ લાઈન ઉપલબ્ધ છે, જે અપૂરતી છે. માટે બે વધારાની પીટ લાઈન્સ બનાવવી જરૂરી છે. આ બધી જ બાબતોને આવરી લઈને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ભાવનગરથી દિલ્હીની રેલ્વે માટેની સુવિધાની માંગણી કરી છે.
આજથી પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ:ભાવનગર સહિત રાજયભરમાં આજથી ધો.10-12ની પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્વે લિટમસ ટેસ્ટ ગણાથી પ્રિલિમ પરીક્ષાનો આવતી કાલ તા.16 જાન્યુઆરીને શુક્રવારથી આરંભ થશે. આ પરીક્ષાની સાથે ધો.9 અને ધો.11ની દ્વિતીય પરીક્ષાનો પણ પ્રારંભ થશે. બે દિવસ સુધી ધાબા પર પતંગોત્સવમાં મગ્ન રહેતા વિદ્યાર્થીઓ માટે 16મીની સવારથી જ પરીક્ષા ખંડમાં બેસવું માનસિક રીતે અઘરું સાબિત થઈ શકે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આ ટાઈમ ટેબલને લઈને ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. વાલીઓનું માનવું છે કે, તહેવારના ગંભીર અને આનંદમય માહોલમાંથી અચાનક પરીક્ષાના દબાણ હેઠળ આવવું વિદ્યાર્થીઓના પ્રદર્શન પર અસર કરી શકે છે. શિક્ષકોના મતે, બોર્ડની પરીક્ષા પહેલાની આ પ્રિલિમ પરીક્ષા ખૂબ જ મહત્ત્વની હોય છે, તેથી વિદ્યાર્થીઓએ તહેવારમાં થોડો સંયમ રાખીને વાંચન પર ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે. શિક્ષણ વિભાગના શૈક્ષણિક કેલેન્ડર મુજબ, આગામી 16 જાન્યુઆરીથી રાજ્યભરની શાળાઓમાં ધોરણ 9થી 12ની પ્રિલિમિનરી (પ્રથમ પરીક્ષા) અને દ્વિતીય કસોટીઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વાસી ઉત્તરાયણની પૂર્ણાહુતિના ગણતરીના કલાકોમાં જ પરીક્ષા શરૂ થતી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા અને કચવાટની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ પ્રિલિમ પરીક્ષા અત્યંત મહત્ત્વની છે. કારણ કે, આ પરીક્ષાના આધારે જ તેમને બોર્ડની મુખ્ય પરીક્ષા માટેની પોતાની તૈયારીઓનો અંદાજ આવે છે. આ વર્ષે વિદ્યાર્થીઓ માટે પતંગ ચગાવવી અને પુસ્તકોમાં ધ્યાન પરોવવું એ બંને વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર છે. ધોરણ 3થી 8ની પરીક્ષા 2 ફેબ્રુઆરીથી શરૂ થશેરાજકોટ સહિત તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટીનું આયોજન 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. આ કસોટીમાં દરેક વિષયના 40-40 ગુણ રહેશે. કસોટી તૈયાર કરવા માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. આ પરીક્ષામાં લર્નિંગ આઉટકમ્સ પર ભાર મુકાશે.
અરેરાટી:ભણતરના ભાર હેઠળ વધુ એક ફૂલ મૂરઝાયું, વિદ્યાર્થિનીએ લગાવી 11મા માળેથી છલાંગ
મોરબીમાં ભણતરના ભાર હેઠળ વધુ એક જીવન કચડાઈ ગયું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં 11માં માળની છત ઉપરથી વહેલી સવારે જ એક વિદ્યાર્થિનીએ મોતની છલાંગ લગાવી દેતા તેણીનું કરુણ મોત નિપજતા તેણીના પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં ભણવામાં સતત તણાવગ્રસ્ત રહેતી હોવાથી માનસિક તણાવથી હતાશ થઈને વિદ્યાર્થિનીએ જીવનદોર જ કાપી નાખવા આ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. જો કે તેણી કેટલા સમયથી અભ્યાસના ડિપ્રેશનમાં રહેતી હતી અને શાળામાં કે શિક્ષક સાથે આ બાબતે કોઇ ટીકા ટિપ્પણી થઇ હોવાનું સામે આવ્યું નથી. પરિવારજનોએ પણ દિમાગને શાંત રાખીને અભ્યાસમાં મન પરોવવા શીખ આપી હોવા છતાં તેણે બધા આરામમાં હતા ત્યારે વહેલી સવારે અગાસી પર જઇને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મોરબીના રવાપર ધૂનડા રોડ ઉપર આવેલ કસોરા ઇલેવન નામના એપાર્ટમેન્ટના બ્લોક નંબર 503 માં રહેતા સુનિલભાઈ માલાસણાની 16 વર્ષીય પુત્રી દેવાંગીએ 11 માં માળની છત ઉપરથી વહેલી સવારે નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી ગંભીર ઇજાના પગલે તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં તેણીના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. વધુમાં આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર વિદ્યાર્થિનીને અભ્યાસનું સતત ટેન્શન રહેતું હતું અને તેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું હાલમાં સામે આવ્યું છે.
સિદ્ધિ:ગાર્ડી ગ્રુપ ઓફ કોલેજીસની B. COM. સેમ 5.માં સિદ્ધિ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી દ્વારા B. COM. સેમ 5નું પરિણામ જાહેર થયેલ છે. જેમાં એસ. એચ. ગાર્ડી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અવની પરમાર યુનિ.માં 4થો નંબર અને કોલેજમાં પ્રથમ નંબર, દ્રિતીય નંબર અસ્મિતા બાટીયા, તૃતીય નંબર હેતલ રાજાઈ પ્રાપ્ત કરેલ છે. આચાર્ય વિરભદ્રસિંહ જાડેજાભાઇ અને તમામ પ્રાધ્યાપકોએ આ સિદ્ધિને બિરદાવી છે. એમ.કે.બી યુનિવર્સિટીના બી.કોમના આ સેમેસ્ટર-5ના પરીણામમાં ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીકક્ષાએ સફળતા મેળવી છે.
પતંગ પર્વની ઉજવણી:સવારે ઠુમકા બાદ બપોરથી પવને સાથ દેતા જમાવટ
પતંગ અને પુણ્યના તહેવાર મકર સંક્રાંતિની ઉજવણી ભાવનગર શહેરમાં પૂરા ઉમંગ અને ધર્મ ભાવના સાથે કરવામાં આવી હતી. સાથે પવનદેવે પણ સવારે 11 વાગ્યા બાદ સાથે દેતા વહેલી સવારે ઠુમકા મા્યા બાદ બપોર ણછી પતંગ પર્વ જામ્યું હતુ જો કે ભાવનગરમાં છવાયેલી મંદી અને મોંઘવારીનો ઓછાયો આ પર્વની ઉજવણીમાં પડ્યો હતો અને છેલ્લાં કેટલાક વર્ષોની તુલનામાં આ વર્ષે પતંગો ઓછા ચગ્યા હતા. જો કે મોડી સાંજે ફટાકડા અને આતશબાજી થાય છે તે યથાવત રીતે જોવા મળી હતી. મંગળવારે મોડી સાંજ સુધી પતંગ રસિયાઓએ પતંગ ચગાવવાની મોજ મન ભરીને માણી હતી બાદમાં આકાશમાં આતાશબાજી અને ફટાકડા ફોડીને પતંગ પર્વનું સમાપન કરતા મોડી સાંજે ભાવેણાનું ગગન દૈદિપ્યમાન થઇ ઝળહળ્યું હતુ. મોટેરાઓએ ગાય અને ગરીબોને ખીચડો, વસ્ત્રદાન અને તલનું દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તો લોકોએ અગાશીઓમાં અને ઘરે ઊંધિયાની જ્યાફત ઉડાવી આ પર્વને ચટાકેદાર બનાવ્યું હતું. સવારે શહેરમાં ફરસાણવાળાને ત્યાં ઉંધીયા, જલેબી, સમોસા, ઢોકળા વિગેરની ખપત પણ સારી રહી હતી. શહેરમાં ધાબા કે અગાશીમાં મ્યુઝિક સિસ્ટમ કે લાઉડ સ્પિકર પર સવારથી સાંજ સુધી ગીતો વગાડવામાં આવ્યા હતા. પ્રેરણા ફાઉ. દ્વારા 375 પક્ષીઓને બચાવાયાપ્રેરણા ફાઉન્ડેશનની ટીમે વન વિભાગ (ગુજરાત સરકાર) સાથે સંકલનમાં રહી ભારે જહેમત ઉઠાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન માત્ર બે દિવસમાં અંદાજે 375થી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કર્યા આ સાથે ઉત્તરાયણના બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ, રસ્તા, બિલ્ડીંગ, બ્રિજ તેમજ ઝાડ પરથી લટકતી પતંગની દોરી દૂર કરવા માટે ‘પતંગની દોરી દૂર કરો’ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. પતંગની દોરી કોઈ જીવ માટે જોખમ ઊભું કરે તે પહેલાં તેને દૂર કરવાની ભાવનાથી આખો દિવસ શહેરના અનેક વિસ્તારોમાં ફરી દોરીનો મોટો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો. પતંગની દોરી કોઈની જિંદગી કાપે તે પહેલાં તેને દૂર કરો ના સંદેશ સાથે આ અભિયાન પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું. આ જીવદયાના સેવાકાર્યમાં 150થી વધુ ભાઈ-બહેનો સ્વયંસેવક તરીકે જોડાયા હતા. કાચવાળી દોરીની ઝપટે 8 પક્ષીના મોતભાવનગર શહેરમાં વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણમાં પક્ષીઓના બચાવ માટે અભિયાન ચલાવાયું હતુ. RFO દિવ્યરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં 47 જેટલા જીવંત અને 8 જેટલા મૃત પક્ષીઓ નોંધાયા છે. જો કે સાંજના પાંચ કલાક બાદ રાત્રી સુધીમાં કુલ 87 જેટલા પક્ષીઓનો આંકડો સામે આવ્યો હતો. જેમાં કુલ 11 કબૂતર મળ્યા તેમાં એકનું મોત થયુ, ઉત્તરાયણમાં 32 પેઇન્ટેડ સ્ટોર્ક દોરીની ઝપટમાં આવ્યા તેમાં 5ના મોત થયા હતા. એક કાળી કાંકણસારનું મોત થયુ હતુ. ઘુવડ, કાજીયો, ટીટોડી, કોયલ, કલકલિયોનો સમાવેશ થાય છે.
કરોડોની સંપત્તિ નિષ્ક્રિય:RB ની નિષ્ક્રિયતાથી સર્કિટહાઉસનું નવું બિલ્ડીંગ તાળાબંધ
ભાવનગર શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શહેરમાં એક ગંભીર અને શાસકીય રીતે ચિંતાજનક મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (RB) ભાવનગરની અક્ષમ આયોજનશક્તિ અને સતત ચાલતી ઢીલાશના કારણે શહેરનું નવું સર્કિટહાઉસ એક વર્ષથી વધુ સમયથી તૈયાર હાલતમાં હોવા છતાં ઉપયોગમાં આવી શક્યું નથી. ઇમારતનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં ફર્નિચર, આંતરિક સુવિધાઓ અને અંતિમ કામગીરી અટવાઈ રહેતા કરોડોની સરકારી સંપત્તિ નિષ્ક્રિય બની પડી છે, જે સ્પષ્ટપણે શાસકીય બેદરકારીનું પ્રતીક બની છે. નવું સર્કિટહાઉસ કાર્યરત ન હોવાથી જિલ્લામાં ફરજ બજાવવા બહારથી આવતા અધિકારી ઓને રાત્રિ રોકાણ માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. સરકારી વ્યવસ્થા ઉપલબ્ધ ન રહેતાં અધિકારીઓને ખાનગી હોટલોમાં રહેવા માટે વધુ ખર્ચ સહન કરવો પડે છે, જેના કારણે સરકારના ખર્ચમાં અનાવશ્યક વધારો થવા સાથે રોજિંદા વહીવટી કામકાજ પર પણ ખરાબ અસર જોવા મળી રહી છે. હાલ કાર્યરત સર્કિટહાઉસમાં રૂમ ફાળવણીને લઈને પણ ગંભીર અનિયમિતતાઓના આક્ષેપો ઊભા થયા છે. રાજકીય ભલામણના આધાર પર પસંદગીના લોકોને રૂમ ફાળવાતાં હોવાની ચર્ચા છે, જ્યારે ફરજ પર આવેલા ક્લાસ-વન અધિકારીઓને ઉચ્ચ અધિકારીના આગમનનું કારણ આપી રૂમ ન આપવાના બનાવો વારંવાર બનતા હોવાનો આક્ષેપ છે. અઠવાડિયા અગાઉથી લેખિત બુકિંગ કરાવ્યા બાદ પણ છેલ્લી ઘડીએ રૂમ રદ થવાના બનાવો સામાન્ય બની ગયા હોવાનું કહેવામાં આવ્યું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ સર્કિટહાઉસની વ્યવસ્થા એક નિવૃત્ત કર્મચારીના હવાલે રાખવામાં આવી છે, જે પોતાની મનમાનીથી કામગીરી ચલાવે છે અને અનેક અધિકારીઓને રૂમ ફાળવવામાં અણગમો દર્શાવે છે. લાંબા સમયથી ચાલતી આવી સ્થિતિ સામે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં ન આવતાં વહીવટી તંત્રમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે. આ સમગ્ર પરિસ્થિતિને લઈ હવે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રીની આજની મુલાકાત દરમિયાન આ મુદ્દે તાત્કાલિક દખલ લઈ સર્કિટહાઉસની બાકી કામગીરી પૂર્ણ કરાવી તેને ઉપયોગમાં લેવા તેમજ રૂમ ફાળવણીમાં પારદર્શિતા અને ન્યાયસંગત વ્યવસ્થા અમલમાં મૂકવાની માગ તેજ બની છે.
કામગીરી:મોરબીમાં પતંગની કાતિલ દોરીથી 12 પક્ષીની જીવનની દોર કપાઇ ગઇ
મોરબીમાં ઉતરાયણે દરેક અગાશીથી આભની અટારીએ રીતસર પતંગ યુદ્ધ લડાયું હતું. જો કે પતંગ રસિયાઓ માટે પેચ લડવાનો આનંદ ગગનમાં વિહરતા પક્ષીઓ માટે મોતની સજા રૂપ બની ગયો હતો. જેમાં ઉતરાયણમાં પતંગની કાતિલ દોરીથી કુલ 72 પક્ષી ઘાયલ થયા હતા. તેમાંથી 12 પક્ષીઓના જીવનની પંતગની કાતિલ દોરીથી ડોર કપાઈ હોવાનું સામે આવ્યું છે. બાકીના 60 જેટલા પક્ષીઓની સઘન સારવાર કરવામાં આવી રહી છે. મોરબીમાં વર્ષોથી અબોલ પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સેવા કરતા યુવાનોના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણ પર્વ પર પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી બચાવી શકાય એ માટે શહેરના રવાપર ચોકડી, અવની ચોકડી, સુપર માર્કેટ સામે, નજરબાગ સ્ટેશન પાસે, નાની કેનાલ રોડ નાકે, નવલખી રોડ , સેન્ટ મેરી સ્કૂલ પાસે કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. એટલે આ સ્થળેથી ઘાયલ પક્ષીઓને એકત્ર કરી મોરબીના રવાપર રોડ પર પટેલ મેડિકલ સામે તથા મહારાણા પ્રતાપ સર્કલ પાસે સારવાર કેન્દ્રમાં લઇ જઈ ચિકિત્સા કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘાયલ પક્ષીઓની સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના કુલ 100 કાર્યકર્તા અને 10 ડોક્ટરની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. આ સંસ્થાના વીશું પટેલના જણાવ્યા મુજબ ઉત્તરાયણે કાતિલ દોરીથી આકાશમાં વિહરતા 72 પક્ષીઓ ઘાયલ હાલતમાં સારવાર માટે આવ્યા હતા.
મકરસંક્રાંતિના પર્વે નાના-મોટા અકસ્માતોની ભરમાર:સર ટી. હોસ્પિટલમાં પતંગની દોરીથી ઇજા થવાના 10 કેસ
ભાવનગરમાં મકરસંક્રાંતિ દિવસે નાના-મોટા અકસ્માતોની ભરમાર વચ્ચે 152 કેસ નોંધાયા હતા. મકરસંક્રાંતિના તહેવારમાં નાના-મોટા અકસ્માતોના કિસ્સામાં આવેલા ઉછાળાથી સર ટી. હોસ્પિટલનો ટ્રોમા સેન્ટર વિભાગ દર્દીઓની ચહલપહલથી ધમધમતો રહ્યો હતો. જેમાં પતંગની દોરીથી ચહેરાના ભાગે ગળા, આંખ અને કાનના ભાગે ઈજા થવાના 10 કેસ નોંધાયા હતા. જેમાં બરવાળામાં પતંગની દોરીથી ઘાયલ વ્યક્તિને બોટાદ બાદ વધુ સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ટાંકા લેવામાં આવ્યા હતા. મકરસંક્રાંતિના દિવસે પતંગની દોરીથી ઇજા થવા ઉપરાંત પતંગ ચગાવતી વખતે અગાસી પરથી નીચે પટકાવા અને માર્ગ અકસ્માતના નાના-મોટા બનાવો પણ બન્યા હતા. સર.ટી. હોસ્પિટલમાં પતંગની દોરીથી ઇજા થવા સહિતના 67 કેસ નોંધાયા હતા. 108માં વાહન સિવાયના અકસ્માતના 45 અને વાહન અકસ્માતના 40 બનાવોમાં દર્દીને સારવાર્થે ખસેડાયા હતા. ગત વર્ષની સરખામણીએ અકસ્માતના કેસોમાં વધારો થયો છે. ઉત્તરાયણમાં ગત વર્ષ કરતા અકસ્માતો વધ્યાઉત્તરાયણના પર્વમાં ગત વર્ષ-2025ની સરખામણીએ ઇમરજન્સી 108ને મળેલા એકંદરે તમામ કોલને ધ્યાનમાં લેતા 42 ટકા જેટલો વધારો થયો છે. ઇમરજન્સી 108માં વાહન સિવાયના અકસ્માતના અને વાહન અકસ્માતના બનાવોમાં 150 ટકાનો વધારો થયો છે.
ભાવનગર શહેરમાં ઉત્તર દિશાના બર્ફિલા પવનની અસરથી આજે આ સિઝનનું સૌથી ઓછું 10.6 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થઇ જતા શહેરીજનો વહેલી સવારે અને રાત્રે ઠંડીથી થથરી ગયા હતા. મકરસંક્રાંતિ બાદ ઠંડીની તીવ્રતા ઓછી થતી હોય છે પણ આ વર્ષે સંક્રાંતિ બાદ કડકડતી ઠંડીનો અનુભવ ભાવેણાવાસીઓને આજે સવારે થયો હતો. શહેરમાં આજે સામાન્ય કરતા 3.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન ઓછું નોંધાયુ હતુ. તો 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 15.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે એક જ દિવસમાં 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી જતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું હતુ. આજે વહેલી સવારે કાતિલ ઠંડી જોવા મળી રહી હતી. દિવસભર ઠંડા પવનોનું સામ્રાજ્ય અકબંધ જોવા મળ્યું. સવારથી 6 કિલોમીટરની ઝડપે ટાઢાબોળ પવન સતત ફુંકાતા રહ્યાં હતા. શહેરીજનો આજે બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. કડકડતી ઠંડીના કારણે સવારના સમયે શહેરની બજારો અને રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. દિવસ ઉગ્યા બાદ પણ ચહલ પહલ નામ માત્રની જોવા મળી હતી. બપોરના સમયે શહેરનું જનજીવન રાબેતા મુજબ થયું હતું. જોકે આકરી ટાઢ બપોરે પણ અનુભવાતી હતી. અને ફરી સાંજ પડતા જ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે પવનની દિશા ઉત્તરનીગઇ કાલ રાતથી ભાવનગર સહિત ગુજરાત પર ઉત્તર તથા ઉત્તર-પૂર્વ દિશા તરફથી ઠંડા બર્ફીલા પવનો ફુંકાઇ રહ્યા છે. જેથી વહેલી સવારથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતાં ફરી એક વખત લઘુતમ તાપમાન ગગડ્યું છે. આ પણ એક મહત્વનું કારણ ગણી શકાય. બર્ફિલા પવનની દિશા બદલાવાનું કારણ એ છે કે રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં પવનની દિશા બદલાઇને ફરીથી ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનો શરૂ થયાં છે તેથી તાપમાનમાં એકાએક ઘટાડો થતાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. - ડો.બી.આર.પંડિત, હવામાનશાસ્ત્રી ડિસેમ્બરને બદલે સંક્રાંતિ બાદ સૌથી ઠંડો દિવસ !!થોડા દિવસ પહેલા એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું, જેને કારણે ભાવનગર સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇ ઝાપટા પડ્યાં હતા. પરંતુ, હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ જતાં હાલમાં હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવન અને ઉત્તર-પૂર્વના ઠંડા પવનનું ગુજરાત તરફ સ્થળાંતર થતાં ઠંડીનો પારો ગગડ્યો છે. અઠવાડિયા દરમિયાન ઠંડીનો પારો 13થી 15 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. ભાવનગરમાં આમ તો ડિસેમ્બરના ચોથા સપ્તાહમાં સૌથી વધુ ઠંડી નોંધાતી હોય છે પણ આ વખતે જાન્યુઆરીમાં સંક્રાંતી બાદ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. જે દર્શાવે છે કે ઋતુઓનું ચક્ર પાછુ ધકેલાતું જાય છે. એક સપ્તાહમાં રાતના તાપમાનમાં વધઘટ
રજૂઆત:બીએલઓને શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપીને ફરજનો સમય વધારો
ભરૂચ જિલ્લામાં એસઆઈઆર મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઓફિસરને શૈક્ષણિક કામગીરી માંથી મુક્તિ આપી ઓન ડ્યુટી નો સમયગાળો વધારી આપવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે એસડીએમ અંકલેશ્વરને રજૂઆત કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં એસઆઈઆર મતદાન સુધારણા કાર્યક્રમ ના બીજા તબક્કાની વિવિધ કામગીરી ચાલુ છે. બુથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવતી કામગીરીને પ્રથમ અગ્રતા આપી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની રહે છે, વધુમાં બૂથ લેવલ ઓફિસરની નિમણૂક ચૂંટણી પંચ તરફથી પ્રતિનિયુક્તિ હેઠળ અત્રે સીધા નિયંત્રણ હેઠળ કરવામાં આવેલ છે. હાલમાં કામગીરી ખૂબજ અગત્યની હોય અને સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય કામગીરીને પ્રાથમિકતા આપવા બુથ લેવલ ઓફિસરને પુરા સમય માટે મુક્ત કરવા તેમજ અન્ય ચાર્જ આપેલ હોય તો આંતરિક વ્યવસ્થા કરી અન્ય ચાર્જ માંથી મુક્ત કરવા જરૂરી પ્રબંધ કરવા રજૂઆત કરવામાં આવી છે.
મોરબી રોડ પર આવેલા હડાળા અને કાગદડી વચ્ચે ઉત્તરાયણના દિવસે હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની હતી. જેમાં 14 વર્ષના તરુણનું મોત થતાં કલ્પાંત સર્જાયો હતો. હડાળા ગામે રહેતો દિવ્યેશ ભરતભાઇ બારૈયા(ઉ.વ.14) મકરસંક્રાંતિની સાંજે હડાળા-કાગદડી નજીક ચાલીને જતો હતો ત્યારે કોઇ કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં મોત નીપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દિવ્યેશ બે ભાઈમાં મોટો હતો અને ધોરણ-5માં ભણતો હતો. તેના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. દિવ્યેશ સાંજે ઘરેથી આંટો મારવા નીકળ્યો અને ચાલીને જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
જનજાગૃતિ:5 હજારથી વધુ કિશોરીઓમાં હિમોગ્લોબિનની તપાસ
ભરૂચ જિલ્લા આઇસીડીએસ વિભાગ તરફથી 12 જેટલા ઘટક કક્ષાએ પૂર્ણા કિશોરી પોષણ ઉડાન તેમજ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ કિશોરી બહેનોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમની આરોગ્ય સ્થિતિ મજબૂત બનાવવાનો હતો. પૂર્ણા કિશોરી પોષણ ઉડાન મહોત્સવ દરમિયાન કિશોરીઓ નું હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં સારું એચ.બી. લેવલ ધરાવતી કિશોરીઓને પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સાથે આઇસીડીએસ વિભાગ તરફથી શરૂ કરવામાં આવેલી પૂર્ણા યોજનાની વિગતવાર માહિતી અને માર્ગદર્શન કિશોરી બહેનોને આપવામાં આવ્યું હતું. આ પૂર્ણા કિશોરી પોષણ ઉડાન મહોત્સવ દરમિયાન 5007 જેટલી કિશોરીઓ અને 2068 જેટલી સખી અને સહસખીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની વિશેષ આકર્ષણ રૂપે કિશોરી બહેનો એ પોષણ સંબંધિત સૂત્રો લખેલા પતંગો આકાશમાં ચગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાથી પૂર્ણા, સીડીપીઓ, મુખ્યસેવિકા સહિત આઈસીડીએસ વિભાગનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આંગણવાડી વર્કર બહેનો તથા મોટી સંખ્યામાં કિશોરી બહેનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
ખેલ ઊંધો પડ્યો:રાજકોટના કોઠારિયામાં બિનખેતી ખાનગી જમીનમાં અને મકાન બનાવ્યા ખરાબામાં
રાજકોટ શહેરમાં અવનવા જમીન કૌભાંડ થતા રહે છે ત્યારે શહેરના કોઠારિયા વિસ્તારમાં એક ખાનગી જમીનને પગ આવી ગયા હોય તેમ ખાનગી જમીન પર પથ્થરની ખાણને કારણે ઊંડી ખાઈ હોવા છતાં આ જમીનની બિનખેતી થઇ ગઈ છે. જોકે મજાની વાત તો એ છે કે, પથ્થરની ખીણમાં આવેલ આ જમીનની બિનખેતી બાદ ભેજાબાજ ટોળકીએ સરવે નંબર 41ની આ જમીન કોઠારિયા ગામના રેવન્યુ સરવે નંબર 352માં દર્શાવી કોર્પોરેશનમાં પ્લાન પાસ કરાવી લઇ સરકારી જમીનમાં બાંધકામ પણ શરૂ કરી દીધું હતું. જોકે આ બાબતની ફરિયાદ સિટી પ્રાંત અધિકારી-2 અને તાલુકા મામલતદાર રાજકોટ સુધી પહોંચતા સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા કલમ 61 મુજબ નોટિસ ફટકારી હતી, પરંતુ ઊલટા ચોર કોટવાલ કો ડાંટે ઉક્તિ મુજબ જમીન માલિકોએ કોર્ટનું શરણું લઈ કોર્ટને પણ ગેરમાર્ગે દોરી સ્ટે મેળવી લીધો હતો. જોકે નહેલે પે દહેલા ઉક્તિ મુજબ મામલતદાર દ્વારા કોર્ટના હુકમનું પાલન કરી સ્ટે સરવે નંબર-41 માટે હોવાથી 352માં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા દબાણ કેસ ચલાવી 202 મુજબ નોટિસ તેમજ દંડ ફટકરવામાં આવ્યો છે. સરકારી જમીન હડપ કરવાના કૌભાંડ સમાન આ કેસની વિગત જોઈએ તો રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલ રેવન્યુ સરવે નંબર 41ની ખાણની કેડી વાળા તરીકે ઓળખાતા ખેતરની 2.20 એકર જમીન માલિક ઇલાબેન મગનભાઈ વડગામાએ બિનખેતી કરાવી 1થી 80 પ્લોટ પાડી બાદમાં કોર્પોરેશનની બાંધકામ મંજૂરી મેળવી જયેશભાઇ ચનાભાઈ લાઠિયા સાથે કરાર કરી ઇલાબેને પ્લોટ નંબર 69,70,71,72 અને 73ની જમીન પર બાંધકામ શરૂ કર્યું હતું. જોકે હકીકતમાં રેવન્યુ સરવે નંબર 41ની જમીન પાણાની ખાણમાં આવી ગઈ હોવાથી બિનખેતી કરાવનાર ભેજાબાજ ટોળકીએ સરવે નંબર 41ની જમીન કોઠારિયાના સ્મશાન નજીક દર્શાવી અહીં સરકારી ખરાબાના રેવન્યુ સરવે નંબર 352ની જમીન પર દબાણ કરી અંદાજે ત્રણ એકરથી વધુ જમીન પર બિનખેતી વિષયક દબાણ કરી લીધું હોવાથી મામલતદાર રાજકોટ દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ નોટિસ ફટકારી હતી. બીજીતરફ સરકારી જમીન હડપ કરી લેનાર આસામીઓ દ્વારા મામલતદારની નોટિસ મળતાં જ રાજકોટ કોર્ટમાં દીવાની દાવો દાખલ કરી પોતે માલિકીની જગ્યામાં બાંધકામ કરતા હોવા છતાં પણ મામલતદારે દબાણ અંગેની નોટિસ આપી હોવાનું રજૂઆત કરતા કોર્ટ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. જોકે કોર્ટના ચુકાદાનું સરકારી વકીલે અર્થઘટન કરતા કોર્ટે સરવે નંબર 41ની જમીનમાં દબાણ નહીં હટાવવા સ્ટે આપ્યો હતો. હકીકતમાં તો દબાણ કરનાર આસામીઓએ રેવન્યુ સરવે નંબર 352માં દબાણ કર્યું હોવાથી કોર્ટના સ્ટેનો ભંગ થતો ન હોય દબાણ કેસ ચાલવી મામલતદાર દ્વારા સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ હટાવવા 202 મુજબ નોટિસ ફટકારી દબાણકારોને દંડ પણ ફટકાર્યો છે. દબાણ કરનારે બિનખેતી કરનાર અધિકારી સામે સવાલ ઉઠાવ્યામામલતદાર સમક્ષ દબાણ કેસ ચાલતા સરકારી જમીન હડપ કરી જનાર આસામીઓએ દલીલમાં જણાવ્યું હતું કે, તેઓએ કાયદેસર રીતે જમીન બિનખેતી કરાવી બાદમાં રિવાઇઝ્ડ પ્લાન પણ મંજૂર કરાવ્યો છે ત્યારે અમારી જમીન જો અહીં ન હોય તો બિનખેતી કેવી રીતે મંજૂર થાય તેવા સવાલ ઉઠાવી બિનખેતી કરનાર અધિકારીઓને પણ શંકાના દાયરામાં લીધા હતા. મહત્ત્વનું છે કે, બિનખેતી પ્રક્રિયામાં કોર્પોરેશન અને રૂડા દ્વારા લેઆઉટ પ્લાન મંજૂર કરવામાં સ્થળ ચકાસણી કરી ગૂગલ મેપ સહિતના પુરાવા મેળવવામાં આવે છે ત્યારે આ કિસ્સામાં આખું કોળું કેમ શાકમાં ગયું તે પણ મોટો સવાલ છે. ડીઆઇએલઆરની માપણીએ ભાંડો ફોડ્યોકોઠારિયા રેવન્યુ સરવે નંબર 41ની બિનખેતીની આડમાં જમીન કૌભાંડી તત્ત્વોએ સરકારી ખરાબાની સરવે નંબર 352ની જમીન પર બાંધકામ કરી નાખવા પ્રકરણમાં સિટી પ્રાંત અધિકારી દ્વારા ડીઆઇએલઆર દ્વારા માપણી કરાવવામાં આવતા સ્પષ્ટ બન્યું હતું કે, દબાણ કરનારાઓએ આખે આખી ચતુર્દિશા બદલી મૂળ જમીનથી દૂર આવેલ સરકારી ખરાબામાં દબાણ કર્યું છે. પ્લાન મંજૂર કરતા પૂર્વે વેલિડેશન સર્ટિફિકેટ માગતી કોર્પોરેશન શંકાના દાયરામાંસામાન્ય રીતે મહાનગરપાલિકામાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોઈપણ બાંધકામ પરમિશન આપતા પૂર્વે વેલિડેશન સર્ટિ. મગાવામાં આવે છે. જોકે કોઠારિયા ગામના રેવન્યુ સરવે નંબર 41ની જમીન પ્રકરણમાં મૂળ જમીન અડધો કિ.મી. જેટલી દૂર હોવા છતાં સરકારી જમીન પર બાંધકામ મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો જમીન માલિકો કરી રહ્યા છે ત્યારે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા પણ શંકાના દાયરામાં આવી છે.
યુવકે કર્યો આપઘાત:ડિપ્રેશનથી પોતાના જ કારખાને ઝેર પી ઉદ્યોગપતિના પુત્રનો આપઘાત
રઘુવંશી કોટનવાળા દિનેશભાઈ સેલાણીના 33 વર્ષીય પુત્રનું ઝેરી દવા પી આપઘાત કરી લેતા મૃતકના પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો હતો. ગૌરવભાઇએ ગત 10મીએ તરઘડી સ્થિત કારખાનામાં ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. તેઓને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો હતો. પડધરી પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કોટન ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ઉદ્યોગપતિ દિનેશભાઇ ધીરજલાલ સેલાણીના પુત્ર ગૌરવભાઇ દિનેશભાઇ સેલાણી(ઉંમર વર્ષ 33, રહે. લેન્ડમાર્ક પ્રાઇડ, અમીન માર્ગ)એ ગત તા.10/1/26ના રોજ પોતાના તરઘડી સ્થિત કારખાને હતા ત્યારે ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. જેની જાણ થતા ગૌરવભાઇને તત્કાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમિયાન દમ તોડી દેતા પડધરી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગૌરવભાઈના આપઘાતનું કારણ જાણવા ન મળતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે તેણે ડિપ્રેશનમાં આ પગલું ભરી લીધાનું અનુમાન છે. જ્યારે બીજા બનાવમાં જામનગર રોડ પર તોપખાનામાં રહેતાં 21 વર્ષના કોલેજિયન યુવાને મકરસંક્રાંતિના તહેવારને દિવસે જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ યુવાન બે બહેનનો એકનો એક નાનો ભાઈ અને માતા-પિતાનો આધારસ્તંભ હતો. તેની સગાઇ થઇ ગઇ હતી અને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, તોપખાના શેરી નં.4માં રહેતા વંશ સુરેશભાઈ ઝાલા(ઉ.વ.21) નામના યુવાને સંક્રાંતિના દિવસે બપોરે ત્રણેક વાગ્યે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. વંશ બે બહેનથી નાનો હતો અને કમ્પ્યૂટરનું કામ કરવા સાથે કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગનું કામ કરે છે. જ્યારે માતા રંજનબેન એઇમ્સમાં નોકરી કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં, વંશની સગાઇ થઇ ચૂકી હતી. આગામી સમયમાં લગ્ન કરવાના હતાં. તેણે આ પગલું શા માટે ભર્યું તે જાણવા પોલીસે તપાસ યથાવત્ રાખી છે.
દુર્ઘટના:ભરૂચના અયોધ્યાનગર પાસેના મેદાનમાં ઘાસચારામાં આગ લાગી
ભરૂચમાં ઉત્તરાયણની રાત્રિએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પતંગ ચગાવ્યાં બાદ લોકોએ આતશબાજી અને ફટાકડા ફોડયાં હતાં. ફટાકડાના તણખાથી અયોધ્યાનગર પાણીની ટાંકી પાસે કચરામાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં પાલિકામાં જાણ કરવામાં આવી હતી. નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ ખુલ્લા મેદાનમાં ઘાસચારામાં લાગી હતી અને તેમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં હવે બદલાવ આવી રહયો છે. સવારે પતંગ બાદ સાંજે આતશબાજી અને ફટાકડા ફોડવાની નવી પરંપરા શરૂ થઇ છે. ફટાકડાનો તણખો ખુલ્લા મેદાનમાં રહેલાં ઘાસચારમાં પડતાં આગ લાગી હતી. આગના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.
વાતાવરણ:ઉત્તરાયણના બીજા દિવસે પણ તાપમાન 16 ડિગ્રી પર યથાવત
ભરૂચ જીલ્લાનું તાપમાન ઉત્તરાયણના બીજા દિવસે ઘટીને 16 ડિગ્રી થતાં વહેલી સવારે વધુ ઠંડી અનુભવાય હતી. દિવસ દરમિયાન ખુલ્લા આકાશ જોવા મળ્યું હતું. જીલ્લાનું તાપમાન છેલ્લા ઘણા દિવસથી વધ-ઘટ થઇ રહ્યું છે. તેમ છતાં ઠંડીમાં ઘટાડો થયો નહીં. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટી 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 20 થી 51 ટકા અને પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 થી 30 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. ખેડૂતોએ પવનની ગતિ ને ધ્યાને લઈને ખેતી પાકમાં દવાનો છંટકાવ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમજ ખેડૂતોએ વાવણી કરેલ પાકની સારી વૃદ્ધિ માટે સમયસર આંતરખેડ તેમજ નિંદામણ કરવું.
વાહનચાલકોને ભારે મુશ્કેલી:ગડખોલ ગામના ઐયપ્પા મંદિર પાસે દોઢ કલાકમાં 25થી વધારે વાહનો લપસી ગયા
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે ઐયપ્પા મંદિર પાસે 100 મીટરના રસ્તા પર કીચડ ફેલાઇ જતાં 25થી વધારે વાહનો સ્લીપ થઇ ગયાં હતાં. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતાં માટી અને પાણી મુખ્યમાર્ગ પર આવી જતાં આ ઘટના બની હતી.ઉકાઈ જમણા કાંઠા નહેર દ્વારા અહીં નાળા તેમજ કેનાલના મજબૂતીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.જે કામગીરી દરમિયાન કેનાલની માટી બહાર કાઢવામાં આવી છે. આ દરમિયાન અહીં ગડખોલ જતી પાણીની લાઈન તૂટી જતા આ માટી સાથે પાણી રોડ પર ધસી આવ્યું હતું જેને લઇ 100 મીટરનો રોડનો ભાગ કીચડ યુક્ત થઇ ગયો હતો. જ્યાં આવાગમન કરતા રાહદારીઓ બાઈક હોય કે પછી રીક્ષા અચાનક સ્લીપ થવાની ઘટના બનવાની શરુ થઇ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર દોઢ કલાકમાં જ 25 થી વધુ વાહન ચાલકો સ્લીપ થયા છે. કેટલાકને તો વાગ્યું છે. કેટલાક માંડ માંડ બચ્યા છે. જેને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કામગીરી:પારડી ઇદ્રિસના ઠગ પિતા-પુત્રના ફોનની વિગતો મેળવવાનું શરૂ
અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં ધાર્મિક વિધિના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે પિતા-પુત્ર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. બીજી તરફ આ ટોળકીએ કેટલા લોકો સાથે ઠગાઇ કરી છે તેની માહિતી મેળવવા માટે પોલીસે તેમની કોલ ડીટેઇલની તપાસ શરૂ કરી દીધી છે. ફરાર બાપુને ઝડપી પાડવાની પણ તજવીજ ચાલી રહી છે. માતા લક્ષ્મીની પૂજા અને આર્થિક સંકટ દૂર કરવાના બહાને કુલ રૂ. 27,48,500 પડાવી લેવામાં આવ્યા હતા. રકમ પરત ન મળતા ફરિયાદીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતવા માટે પૈસાથી ભરેલી પેટીઓ બતાવતા હતા. તેઓ પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે તેવી ખોટી વાતો ફેલાવી અનેક લોકોને ઠગ્યાં છે.
કામગીરી:અંકલેશ્વર- હાંસોટમાં 10 કરોડના ખર્ચથી નહેરોનું નવીનીકરણ શરૂ
અંકલેશ્વર -હાંસોટ માં 10 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે 15 થી વધુ નાની મોટી નહેરોનું નવીકરણ કરાઈ રહ્યું છે. 5 કરોડના ખર્ચે નાના પુલ તથા નાના ગેટ દૂર કરી મોટા ગેટ નું પણ નિર્માણ કરવામાં રહ્યું છે. કેનાલના નવીનીકરણ ને લઇ બને તાલુકાના 15 હજાર હેક્ટર જમીનને ફાયદો થશે. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગે 35 દિવસ માટે કેનાલને બંધ કરીને રીપેરિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતથી ખેડૂતોને કેનાલમાંથી પાણી મળતું થઇ જાય તેવું આયોજન છે. રાજયના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલે કેનાલની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કેનાલના કામગીરી જાત તપાસ કરી મટીરીયલ તથા ગુણવત્તાની તપાસ કરી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ કેનાલને 90 દિવસ માટે બંધ કરવાની હતી પણ માવઠાના કારણે ડાંગરના પાકને નુકસાન થતાં શટડાઉનના દિવસો ઘટાડી 35 કરી દેવામાં આવ્યાં છે. આ દિવસોમાં કેનાલના રીપેરિંગ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મનપાની વેરા વસૂલાત માટે કડક ઉઘરાણી:બાકી મિલકત વેરો વસૂલવા મોચી બજારમાં 20 દુકાન સીલ કરાઇ
રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષનો અંત નજીક આવતા જ બાકી મિલકત વેરો વસૂલવા કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં આજથી ત્રણ લાખથી વધુ વેરો બાકી હોય તેવા તમામ મિલકત ધારકો વિરુદ્ધ શહેરના તમામ 18 વોર્ડમાં સીલિંગ કાર્યવાહી શરૂ કરી છે. જે અન્વયે મોચી બજાર વિસ્તારમાં કોર્પોરેશનની વેરા વસૂલાત શાખાએ એકસાથે 20 દુકાનને સીલ મારી દેતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રજૂઆત માટે કોર્પોરેશન ખાતે દોડી ગયા હતા. કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા શુક્રવારે શહેરના વોર્ડ નંબર-3માં સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા જ્યુબિલી શાકમાર્કેટ રોડથી મોચી બજાર ચોક ખૂણા સુધીમાં બાકી વેરા મુદ્દે 20 દુકાન સીલ કરવામાં આવતા વેપારીઓમાં દેકારો બોલ્યો હતો. અચાનક જ કોર્પોરેશન દ્વારા સીલિંગની કાર્યવાહી થતા વેપારીઓએ અલગ અલગ બિલ કરી આપવા, યોગ્ય આકારણી કરવા સહિતની રજૂઆતો કરવા છતાં સીલિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવતા વેપારીઓ રજૂઆત માટે કોર્પોરેશન ખાતે દોડી ગયા હતા. કોર્પોરેશને સીલિંગની કાર્યવાહી કરી મયૂર જનરલ સ્ટોર, સાંઇ ટ્રેડિંગ, પ્રભુકૃપા એજન્સી સહિતના દુકાનો સીલ કરી હતી. અલગ-અલગ બિલ નહીં આવતા હોવાથી વેરા વસૂલાતનો પ્રશ્નસીલ મારવાની કાર્યવાહી મામલે દુકાનદાર મયૂર શાહે કહ્યું હતું કે, દુકાનોના અલગ અલગ વેરા કરવા માટે લાંબા સમયથી રજૂઆત કરવામાં આવે છે. માપણી કરવા માટે પણ રજૂઆત કરી છે છતાં વેરા વસૂલાત શાખા કાર્યવાહી કરતી ન હોવાથી વેરો ચડત થયો છે. વર્ષ 2018થી વેરામાં વિસંગતતા ઊભી થઇ હોય વેપારીઓ દ્વારા અલગ અલગ બિલ કરી આપવા માંગ કરવામાં આવી હતી. નિયમ મુજબ જ સીલ મરાયા છે : નંદાણીવોર્ડ નં.3માં મિલકત સીલ કરવા કાર્યવાહી અંગે ડેપ્યુટી કમિશનર નંદાણીએ જણાવ્યું હતું કે, તમામ સ્થળે કલમ 45-1 હેઠળ નોટિસ સહિતની કાર્યવાહી કર્યા બાદ જ મિલકત સીલ કરાઇ હતી. કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની નોટિસના રેકોર્ડ એપમાં અને સિસ્ટમમાં અપલોડ કરાય છે. જો નોટિસ વગર સીલની કાર્યવાહી કરાય તો કર્મચારીની જવાબદારી ઠરતાં હોવાનું પણ તેમને જણાવી નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
ભાસ્કર એક્સક્લુઝિવ:અભયમ હેલ્પલાઇનને એક વર્ષમાં 4553 ફોન આવ્યા, સૌથી વધુ ઘરેલું હિંસાના કેસ
ભરૂચ જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાઓ માટે આશાનું કેન્દ્ર બની છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ તરફથી સંચાલિત આ હેલ્પલાઇને છેલ્લા એક વર્ષમાં 4553 જરૂરિયાતમંદ મહિલાઓને મદદ પૂરી પાડી છે. આ સમયગાળા દરમિયાન ભરૂચ જિલ્લામાંથી કુલ 4553 કોલ પ્રાપ્ત થયા હતા. તેમાંથી 731 કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આ પૈકી 553 કેસમાં સફળ સમાધાન થયું હતું. જ્યારે 111 કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ સરકારી એજન્સીઓમાં રિફર કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલા કોલોમાં મુખ્યત્વે ઘરેલુ હિંસાના 2302 કેસ, શારીરિક- માનસિક- જાતીય હેરાનગતિના 748 કેસ, લગ્નજીવનના વિખવાદોના 372 કેસ, કસ્ટડીના 81 કેસ અને કાયદાકીય માર્ગદર્શનના 64 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બિનજરૂરી કોલ- મેસેજથી હેરાનગતિના 55 કેસ પણ નોંધાયા હતા. મહિલાઓએ સામાન્ય માહિતી અને મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન મેળવ્યું હતું. વર્ષ દરમિયાન અભયમ ટીમે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓએસસી તેમજ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી અસરકારક કાઉન્સેલિંગ, માર્ગદર્શન-બચાવ કાર્ય કર્યું છે.
જિલ્લામાં ખેતી-બિનખેતીની જમીન ખુલ્લી કરાઇ:વર્ષમાં 222 કરોડની 13.12 લાખ ચોરસ મીટર જમીન દબાણ મુક્ત
રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી ખરાબાની કિંમતી જમીન પર રહેણાક તેમજ ખેતી વિષયક દબાણો મોટા પ્રમાણમાં થઇ ચૂક્યા છે ત્યારે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ મામલતદાર દ્વારા સરકારી જમીન પરના દબાણ હટાવવા ઝુંબેશરૂપે કામગીરી કરતા છેલ્લા એક વર્ષમાં શહેર, ગ્રામ્ય વિસ્તારમાં 205 કેસમાં મામલતદારે 13,12,888 ચો. મી. જમીન ખુલ્લી કરાવી છે. જંત્રી દર મુજબ કિંમત રૂ. 221 કરોડ 54 લાખ 44 હજાર 668 થાય છે. કલેક્ટર ડો.ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ જિલ્લામાં તમામ પ્રાંત, મામલતદારને સરકારી જમીનની નિયમિત ફેરણી કરી દબાણ હટાવવા માટે તાકીદ કરી દર મહિને મળતી રેવન્યુ ઓફિસરોની બેઠકમાં હિસાબ માગવામાં આવતા છેલ્લા એક વર્ષમાં શહેર અને જિલ્લામાં મામલતદાર દ્વારા કુલ 205 કિસ્સામાં કાર્યવાહી કરી હતી. જેમાં કલમ 202 મુજબની કાર્યવાહી બાદ કુલ રૂપિયા 221,54,44,66,813ની જંત્રી કિંમતની 13,12,888 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઇ હતી. સૌથી વધુ કિંમતી જમીન રાજકોટ પશ્ચિમ વિસ્તારમાંરાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી ખરાબાની જમીન પરના ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહીમાં સૌથી વધુ કિંમતી જમીન રાજકોટ પશ્ચિમ મામલતદાર વિસ્તારમાં 95.25 કરોડની 23,900 ચો. મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી. રાજકોટ પૂર્વમાં 19.66 કરોડ, ધોરાજીમાં 48.75 કરોડ, જેતપુરમાં 19 કરોડ, લોધિકા તાલુકામાં 9 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવા બુલડોઝર એક્શન લેવાયા હતા.
તંત્ર એક્શન મોડમાં:રાજકોટના જંગલેશ્વરમાં હવે કલમ 202 મુજબ દબાણ હટાવવા ફટકારાશે નોટિસ
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલી 1.92 લાખ ચોરસ મીટર સરકારી જમીનમાં દબાણ ઊભા થઇ જવા પ્રકરણમાં ડિસેમ્બર માસથી જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ 1358 આસામીને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ 968 દબાણકારને સુનાવણી કરી લેવામાં આવી છે જેમાં બાકી રહેતા 390 દબાણકારને આગામી તા.19મીએ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે. આ સુનાવણી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ દબાણકારોને જમીન મહેસૂલ કાયદાની કલમ 202 મુજબ દબાણ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવનાર હોવાનું જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું હતું. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની જંગલેશ્વર મેઈન રોડ પર આવેલ 1.92 લાખ ચોરસ મીટર જમીન પર વર્ષોથી ખડકાઈ ગયેલ દબાણો દૂર કરવા રાજકોટ સિટી પૂર્વ મામલતદાર દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. બીજી તરફ કેટલાક દબાણકારો હાઇકોર્ટમાં દોડી ગયા હોય બાકી રહેતા આસામીને માલિકીના પુરાવા રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. સરકારી જમીન હોવાથી વૈકલ્પિક જગ્યા આપવાનો પ્રશ્ન નથીજિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની સરકારી જમીનમાં દબાણ કરનાર આસામીઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવશે કે કેમ તે અંગેના સવાલમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનની જમીનમાં દબાણના કિસ્સામાં વૈકલ્પિક જગ્યા આપવામાં આવતી હોય છે. સરકારી જગ્યામાં દબાણ પ્રશ્ને આવી કોઈ જોગવાઈ ન હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા અંગેનો સવાલ ન હોવાનું તેમને સ્પષ્ટ કર્યું હતું.
છેતરપિંડી:રાજકોટમાં યુવતી સાથે રૂ. 12.50 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસે મૂળ નવી દિલ્હી શિવ વિહારના અને હાલ સાધુ વાસવાણી રોડ પર યોગીનગર કોમ્પ્લેક્સ બીજા માળે રહેતા દામિનીબેન રાજેન્દ્રકુમાર પ્રજાપતિ(ઉ.વ.28)ની ફરિયાદ પરથી સાધુ વાસવાણી રોડ સરિતા શેરી નં.5 કેશવી સુપર માર્કેટ પાસે સૂર્યકૃપા ખાતે રહેતાં રાજદીપસિંહ ભરતસિંહ જાડેજા વિરુદ્ધ રૂપિયા 12.50 લાખની છેતરપીંડી કર્યાનો ગુનો નોંધ્યો છે.
રાજકોટના જુદા જુદા વિસ્તારમાં ધોકા-છરીઓ ઊડી:ઉત્તરાયણમાં મારામારી, 18થી વધુ કેસ સિવિલ ચોપડે નોંધાયા
ઉત્તરાયણમાં રાજકોટમાં પતંગોની સાથે ધોકા-પાઇપ-પથ્થર, છરી પણ ઉડ્યા હતા. સહકારનગરમાં તો એક યુવકની પ્રેમિકાએ પુરુષ મિત્ર સાથે મળી કરપીણ હત્યા કરી નાખી હતી. લોકો વચ્ચે મારામારી થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. નવા થોરાળા મેઇન રોડ પર રહેતાં અને મનપાની કચરા ગાડીમાં કામ કરતાં કિશનભાઇ પરમાર તથા તેના ભાઈ દેવેન્દ્રભાઇ પરમાર ઉપર રાતે અગિયારેક વાગ્યે સોરઠિયા પ્લોટ પાસે હતાં ત્યારે હંસરાજ સાગઠિયા, મનુ સાગઠિયા, સુનિલ સાગઠિયા સહિતે ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જૂની અદાવતમાં બોલાચાલી થતા માથાકૂટ થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. બીજા બનાવમાં કુબલિયાપરા-5માં રહેતાં ધર્મેશ પોપટભાઈ સોલંકીને રાતે દસેક વાગ્યે ઘર પાસે કલુ સહિતે માર મારી તીક્ષ્ણ વસ્તુથી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં રહેતાં સુમન કુમાર રામને રિઝવાન સહિતે ઝઘડો કરી પાણાના ઘા કરી ઇજા કરતાં સારવાર માટે દાખલ કરાયો હતો. શિવાજીનગર-1ના કલ્પેશ ભરતભાઈ સરવૈયાને એસ.ટી. વર્કશોપ પાછળ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર મારતાં સારવાર માટે દાખલ થયો હતો. આ પ્રકારે સવારથી સાંજ સુધીમાં મારમારીમાં હોસ્પિટલ ચોકીમાં 18થી વધુ કેસ નોંધાતા પોલીસ મથકને જાણ થતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
કોલેજોમાં નિયમોના ધજાગરા:આચાર્ય, લાઇબ્રેરિયન અને ફાયર NOC વગર જ જોડાણની મંજૂરી મેળવવાનો ખેલ!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળનારી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં રજૂ થનારા એજન્ડામાં શૈક્ષણિક સંસ્થાઓની ગંભીર બેદરકારીઓ સામે આવી છે. અનેક કોલેજોએ નવા અભ્યાસક્રમો શરૂ કરવા કે ચાલુ જોડાણ માટે અરજીઓ કરી છે, પરંતુ તપાસ સમિતિના રિપોર્ટમાં પાયાની સુવિધાઓનો જ અભાવ હોવાનું સ્પષ્ટ થયું છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નિયમોના ધજાગરા થયા હોય એમ આચાર્ય, લાઇબ્રેરિયન અને ફાયર NOC વગર જ જોડાણની મંજૂરી મેળવવા ખેલ થઇ રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. કુલ 58 જેટલા એજન્ડામાંથી એક ડિઝાઈન કોલેજે તો ખુદ LICના સભ્યોને પણ ગોથે ચઢાવ્યા. મૂળ કોલેજને બદલે 5 કિ.મી. દૂરની સંસ્થામાં વિઝિટ કરાવી નાખી. બીજીબાજુ આ કોલેજમાં આચાર્યની નિમણૂક જ નથી છતાં જોડાણની અરજી આચાર્યના નામે કરી છે. સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે, જે કોલેજોએ જોડાણ મેળવવા અરજી કરી છે, તેમાંથી અનેક પાસે સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલ સુરક્ષા પ્રમાણપત્રો નથી. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પાસે અગ્નિશામક સુરક્ષાનું પ્રમાણપત્ર (ફાયર NOC) નથી, જે આકસ્મિક સંજોગોમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી શકે છે. બિલ્ડિંગ યૂઝ પરમિશન (BUP) વગર પણ કેટલીક કોલેજો ધમધમી રહી છે. અનેક કોલેજોમાં કાયમી અને માન્ય આચાર્યની જગ્યા ખાલી છે. ઘણી સંસ્થાઓમાં ગ્રંથપાલ અને પીટીઆઈ જેવા અનિવાર્ય હોદ્દાઓ પર લાયકાત ધરાવતા વ્યક્તિઓ નથી. જો કોલેજો પાસે પૂરતો સ્ટાફ કે સુરક્ષાના સાધનો જ ન હોય, તો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ કઈ રીતે મળશે?. તપાસ સમિતિઓએ અનેક કોલેજો સામે આ મુદ્દે નકારાત્મક અભિપ્રાય આપ્યો હોવા છતાં, હવે કાઉન્સિલ આ અંગે શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે. ગોટાળા છતાં બહાલી, VC પણ ગેરરીતિની ‘ડિઝાઈન’માં આવી ગયાડિઝાઈન કોલેજે યુનિવર્સિટીની LIC ને ઊંધા ચશ્મા પહેરાવ્યા છે. તપાસ માટે આવેલા સભ્યોને મૂળ કોલેજ બતાવવાને બદલે 5 કિલોમીટર દૂર આવેલી બીજી સંસ્થામાં વિઝિટ કરાવી નાખી હતી! આટલું ઓછું હોય તેમ, આ કોલેજમાં કાયમી આચાર્યની નિમણૂક જ કરવામાં આવી નથી. આશ્ચર્યની વાત એ છે કે, સંચાલકોએ જોડાણ માટેની અરજીમાં આચાર્યના નામનો ઉલ્લેખ કરીને યુનિવર્સિટીને ગેરમાર્ગે દોરી. ખુદ LICના સભ્યો જ પોતાના રિપોર્ટમાં લખે છે કે, 5 કિ.મી.ના દાયરામાં આવેલી સંસ્થામાં ક્લાસરૂમ, સ્ટુડિયો અને ફેકલ્ટીની સીટિંગની જગ્યાની વિઝિટ કરાવી. લેબ, કમ્પ્યૂટર લેબ, લાઇબ્રેરી અને અન્ય ફેસિલિટી પણ જુદી જગ્યાએ બતાવી. પ્રિન્સિપાલને બદલે ડાયરેક્ટરની નિમણૂક કરી છે એવું દર્શાવ્યું છે જે ખરેખર નિયમ વિરુદ્ધ છે. આટલું ઓછું હતું કે LICના સભ્યો તો ભોળવાઈ ગયા, પરંતુ ખુદ કુલપતિ પણ આ ગેરરીતિની ‘ડિઝાઈન’માં આવી ગયા કે આવી લાલિયાવાડી છતાં બહાલી આપી દીધી. કોલેજોમાં ખૂટતી સુવિધાઓની વિગત
‘ગુજરાત એસ.ટી. એટલે ટ્રસ્ટ સેફ્ટી’ વિશે સેમિનાર:STના 100થી વધુ ડ્રાઈવર, કંડક્ટરને તાલીમ અપાઇ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના રાજકોટ વિભાગ ખાતે તાજેતરમાં બસ ડ્રાઈવર અને કંડક્ટર માટે એક કલાકનું પ્રેરણાદાયક તથા માર્ગ સુરક્ષા અભિમુખ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં 100થી વધુ ડ્રાઈવર અને કંડક્ટરએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ તાલીમ સત્રનું શીર્ષક “ગુજરાત એસ.ટી. એટલે ટ્રસ્ટ સેફ્ટી” રાખવામાં આવ્યું હતું, જેમાં GSRTCને ફક્ત જાહેર પરિવહન વ્યવસ્થા નહીં, પરંતુ ‘જાહેર વિશ્વાસનું પ્રતીક’ તરીકે રજૂ કરવામાં આવ્યું. તાલીમ દરમિયાન છેલ્લાં ત્રણ વર્ષના માર્ગ અકસ્માતના આંકડાઓ અને બસમાં આગની ઘટનાઓના સંદર્ભ સાથે સમજાવવામાં આવ્યું કે, એક અકસ્માત અનેક પરિવારના સુખ–શાંતિને અસર કરે છે. કસ્ટમ્સ ઓફિસર સંજીવ જાનીએ જણાવ્યું હતું કે, સ્પીડ અને સ્કિલને વ્યસ્ત સંબંધ છે. જેટલી સ્પીડ વધુ એટલી સ્કિલ (કુશળતા) ઓછી થતી જાય છે.
કરુણા અભિયાન:ઉત્તરાયણના દિવસે 381, ત્રણ દિવસમાં 501 ઘવાયેલા પક્ષીની સારવાર
ઉત્તરાયણનો તહેવાર ઉજવાય રહ્યો છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે ‘કરુણા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા આયોજિત વિશ્વનાં સૌથી મોટાં ‘પક્ષી બચાઓ અભિયાન-2026’ માં અત્યાર સુધી પતંગના દોરાઓથી ઘવાયેલા ઘણા પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા છે. એનિમલ હેલ્પલાઈનનો મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ પક્ષીઓની સારવાર કરી રહ્યું છે. લોકોમાં થોડી જાગૃતિ જોવા મળી : સેક્રેટરી2025ની મકરસંક્રાંતિની તા.13થી 15 દરમિયાન 700થી વધુ પક્ષી ઘાયલ થયા હતા જ્યારે આ વર્ષે 501 પક્ષી સરવાર હેઠળ આવ્યા હતા. જેમાં 13મીએ 13 કબૂતર તથા ઉત્તરાયણના દિવસે 368 કબૂતર, 3 કોયલ, 2 ખિસકોલી, 1 મૈના, 1 ચામાચીડિયું, 1 ઘુવડ, 1 ચકલી, 2 હોલા, 2 પોપટ અને તા.15એ 102 કબૂતર, 2 ચામાચીડિયું, 1 ઘુવડ, 1 કોયલ, 1 બગલો એમ કુલ 501 પક્ષી ઘાયલ થયા હતા. આ તકે ટ્રસ્ટના મિતલભાઇ ખેતાણી તથા સેક્રેટરી પ્રતિકભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે, લોકોમાં હવે થોડી જાગૃતિ જોવા મળી રહી છે જોકે, આ વર્ષે ક્યાંકને ક્યાંક મેચના કારણે પણ થોડી ઓછી પતંગ જોવા મળી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) હવે માત્ર ‘વરસાદ પડશે’ તેવી આગાહી પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ભારતને ‘હવામાન-સજ્જ’ રાષ્ટ્ર બનાવવા માટે એક અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન મોસમ’ (2024-2026) પર કામ કરી રહ્યું છે. સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ કરી રહેલું IMD હવે અંતરીક્ષ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંગમ દ્વારા સામાન્ય માનવીના ખિસ્સા સુધી ચોક્કસ હવામાન પહોંચાડવા સજ્જ થયું છે. ભવિષ્યમાં IMD જે સૌથી મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે તે છે ‘હાઈપર-લોકલ ફોરકાસ્ટિંગ’. અત્યાર સુધી 12 કિમીના વિસ્તારની આગાહી મળતી હતી, પરંતુ હવે ‘ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ’ દ્વારા 1 કિમી x 1 કિમીના નાના ગ્રીડ લેવલ પર આગાહી મળશે. આનો અર્થ એ કે, તમારા ગામ કે શહેરમાં ક્યા વિસ્તારમાં વરસાદ પડશે તેની સચોટ માહિતી પંચાયત સ્તરે ઉપલબ્ધ હશે. અંતરિયાળ વિસ્તારોમાં ડેટા કલેક્શન માટે ભારતમાં જ બનેલા 3D-પ્રિન્ટેડ ઓટોમેટિક વેધર સ્ટેશન (AWS) સ્થાપવામાં આવશે. આ સાથે જ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગના ઉપયોગથી વાદળ ફાટવું જેવી અચાનક આવતી આફતોની આગાહી સેકન્ડોમાં શક્ય બનશે. અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં હવાની ગુણવત્તા માપવા માટે ‘SAFAR’ સિસ્ટમને વધુ આધુનિક બનાવાશે. શહેરી વિસ્તારની ગરમી (Urban Heat Island) અને પ્રદૂષણ વરસાદ પર કેવી અસર કરે છે તેનો અભ્યાસ કરીને હવે શહેરો માટે દર 1 કલાકે ‘નાઉકાસ્ટિંગ’ (તાત્કાલિક અપડેટ) આપવાની સિસ્ટમ વિકસાવાઈ રહી છે. કૃષિથી લઈને ઉડ્ડયન અને સામાન્ય માનવીના પ્રવાસ સુધી, IMDનું આ નવું ક્લેવર ભારતને કુદરતી આપત્તિઓ સામે ઢાલ પૂરી પાડશે. 2026 સુધીમાં ભારત પાસે દુનિયાનું સૌથી આધુનિક હવામાન નેટવર્ક હશે, જેનાથી જાન-માલનું નુકસાન શૂન્ય કરી શકાશે. મિશન મોસમના ભવિષ્યના લક્ષ્યો ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ - ઉચ્ચ રિઝોલ્યુશન મોડલ્સ દ્વારા પંચાયત સ્તર સુધી સચોટ ચેતવણીઓ નાઉકાસ્ટિંગ - શહેરોમાં તોફાન કે ભારે વરસાદ માટે દર 1 કલાકે લાઈવ અપડેટ્સ. વાદળ વિજ્ઞાન - ક્લાઉડ ચેમ્બર દ્વારા વાદળોની વર્તણૂક સમજીને જરૂરિયાત મુજબ વરસાદ કરાવવાની ક્ષમતા. નેક્સ્ટ-જનરેશન રડાર - વરસાદ અને કરા વચ્ચેનો તફાવત પારખી શકે તેવા અદ્યતન ડોપ્લર રડારનું નેટવર્ક.
જિલ્લામાં શીતલહેર:8.4 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ નલિયા કરતા પણ ઠંડું શહેર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીએ બરાબરની જમાવટ કરી છે. ગુરુવારની સવાર રાજકોટવાસીઓ માટે જબરી ઠંડી રહી હતી, જ્યાં પારો ગગડીને 8.4 ડિગ્રીએ પહોંચી જતાં રાજકોટ રાજ્યના જાણીતા ઠંડા મથક નલિયા કરતાં પણ વધુ ઠંડું રહ્યું હતું. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમરેલી જિલ્લો અત્યારે ઠંડીનું કેન્દ્ર બન્યો છે. 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે અમરેલી સમગ્ર ગુજરાતનું સૌથી ઠંડું શહેર જાહેર થયું છે. રાજકોટ બીજા ક્રમે રહીને ‘કોલ્ડ વેવ’ જેવી સ્થિતિનો અનુભવ કરી રહ્યું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની સત્તાવાર વેબસાઈટ મુજબ આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાનું ચાલુ રહેશે. રાજકોટમાં રાત્રિના સમયે તાપમાન સિંગલ ડિજિટમાં જ રહેવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાંથી આવતા બર્ફીલા પવનોને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં ઠંડીનું જોર વધતા જ લોકોએ ગરમ કપડાં, ટોપી અને મફલરનો સહારો લીધો છે. વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે, જ્યારે રાત્રિના સમયે રાજમાર્ગો પર ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ઠેર-ઠેર તાપણાં કરતા પણ નજરે પડી રહ્યા છે. વૃદ્ધો અને બાળકોને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીથી બચવા તેમજ ગરમ પ્રવાહી લેવાની ડોક્ટર સલાહ આપી રહ્યા છે. રાજ્યમાં અમરેલીમાં સૌથી ઓછું 6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જ્યારે બીજા ક્રમે રાજકોટમાં 8.4 ડિગ્રી રહ્યું છે. પોરબંદરમાં 8.9 ડિગ્રી જ્યારે ડીસામાં 9.3 અને નલિયામાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સાયબર ફ્રોડ આચરનાર ઠગ ઝડપાયો:એપીકે ફાઇલથી 5 લાખ પડાવનાર જામતારા ગેંગનો સાગરીત પકડાયો
પાંડેસરામાં શાકભાજીનો ધંધો કરતા શીતલા પ્રસાદના પુત્ર નરસિંગના વોટ્સએપ ગ્રુપમાં ગઠિયાએ આરટીઓ ઇ ચલણની એપીકે ફાઇલ મોકલી હતી. જે નરસિંગે ઓપન કરતા ગઠીયાએ તેનો ફોન હેક કરીને તેના ખાતામાંથી 5,02 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ ગુનામાં સાયબર ક્રાઇમની ટીમે ઝારખંડના જામતારાના ઝીલુવા ગામના ગૌતમ રાજેન્દ્ર મંડલ (ઉવ.27)ના એકાઉન્ટનાં જમા થયા હોવાનું માલુમ પડતા તેની ધરપકડ કરી હતી.તેના2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 10 ટકા કમિશન માટે પરિવારના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યાફ્રોડ ટોળકીએ રોકડા અને ક્રેડિટ કાર્ડ મારફતે ફરિયાદીના એકાઉન્ટમાંથી સીડીએમ મશીન મારફતે ગૌતમ મંડલ અને તેના પરિવારના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ગૌતમે આ રુપિયા ઉઠાવીને પોતાના 10 ટકા કમિશન કાપી લઇને બાકીની રકમ મુખ્ય આરોપી એવા જામતારાના પ્રદ્યુમ મંડલને આપી દેતો હોવાની કબુલાત કરી હતી.
ફરાર આરોપી પકડાયો:સારોલીમાં દોઢ માસ પહેલાં લગ્નમાંથી 9 લાખ લઇ ભાગેલો ચોર એમપીથી પકડાયો
પલસાણાના બળવંતભાઇ હડિયાના દિકરાના લગ્ન સણીયા હેમાદના ખોડલ ફાર્મમાં યોજાયા હતા. અરુણ ભાનેરિયાએ (ઉવ.26) ઘુસી આવી બળવંતભાઇ ફોટો પડાવવા જતા તેમણે મૂકેલી9.07 લાખની મત્તા ભરેલી બેગ લઇને નાસી ગયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજથી તપાસ કરતા અરુણ મધ્યપ્રદેશનો હોવાનું માલુમ પડતા સારોલી પોલીસ રાજગઢ જિલ્લાના કડીયાસાસી ગામે પહોંચી હતા. સાત દિવસ સુધી વોચ ગોઠવ્યા બાદ અરૂણ હોવાનું માલુમ પડ્યું હતું.હુમલાની આશંકાએ સારોલી પોલીસે સ્થાનિક પોલીસની મદદ બુલેટપ્રુફ જેકેટ અને હથિયાર લઇને વહેલી સવારે ફિલ્મી સ્ટાઇલમાં ઓપરેશન કરી અરુણને ઝડપી પાડી મુદ્દામાલ કબજે લીધો હતો. તેણે એમપી અને રાજસ્થાનમાં પણ ચોરી કરી હતી.
સફળતાની કહાણી:પ્રતિ વીડિયો 1 હજારથી પ્રોડક્શન હાઉસ સુધી ગોપી ઠાકરની સફર
આજે ગુજરાતી ડિજિટલ દુનિયામાં જાણીતું નામ બનેલી ગોપી ઠાકરે પરંપરાગત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક મુશ્કેલીઓમાંથી બહાર આવીને તેમણે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ગોપીએ 2017માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ અંદાજે 25 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતના દિવસોમાં તેમને હેરાનગતિ અને ગેરવર્તણૂકનો સામનો કરવો પડ્યો. પરિવારની આર્થિક જવાબદારીઓને કારણે તેને થોડા સમય માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને નોકરી કરવી પડી હતી. કોરોના કાળ દરમિયાન ગોપીની જિંદગીમાં મોટો વળાંક આવ્યો. એ સમયે રવિ અગ્રાવતે તેમને મોબાઇલથી વીડિયો બનાવી યુટ્યુબ પર મૂકવાની સલાહ આપી. ગોપી રવિ અગ્રાવતને પોતાનો ‘ગુરુ’ માને છે. તેણે પ્રતિ વીડિયો માત્ર 1,000 રૂપિયામાં કામ શરૂ કર્યું હતું. ‘વિકી ઓફિશિયલ’ નામની યુટ્યુબ ચેનલથી ગોપીની ઓળખ વધી. આજે તેઓ 15થી 20 જેટલી યુટ્યુબ ચેનલો સંભાળી રહી છે અને સાથે સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.
આજથી ધો.10ની પ્રિ-બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. આ પરીક્ષા માત્ર એક કસોટી નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટેની સેલ્ફ ચેક એક્ઝામ છે. વિદ્યાર્થીઓે પરીક્ષાના માહોલથી પરિચિત થાય અને તેમના મનમાંથી બોર્ડનો ડર નીકળી જાય તે માટે પરીક્ષા યોજાઈ રહી છે. ઘણીવાર વિદ્યાર્થીને બધું જ આવડતું હોય તો પણ તે 3 કલાકમાં લખી શકતો નથી. આ પ્રિ-બોર્ડ ટાઈમ મેનેજમેન્ટની ફોર્મ્યુલા શીખવશે. 6 દિવસના પેપરમાં જે લખશો તેનાથી જણાશે કે કયા વિભાગમાં કેટલો સમય આપવો. અહીં થતી ભૂલો બોર્ડની પરીક્ષામાં નિવારી શકાશે. આ પરીક્ષાના પરિણામથી ન જશો. તમે કયા પ્રકરણ અને કયા વિષયમાં કાચા છો તે જાણીને યાદી બનાવી રિવિઝન પ્લાનને ફરીથી રિસેટ કરો. (મિલન માંજરાવાલા સાથે થયેલી વાતચીતના આધારે) પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબત1. કયા વિભાગને કેટલો સમય આપવો તેને પેપર શરૂ કરતા પહેલા નક્કી કરી લો2. જવાબ ક્રમ મુજબ લખો, નહીં આવડે તો જગ્યા છોડી દો અને તેનો જવાબ છેલ્લે લખો3. લાંબા ફકરા ટાળી મુદ્દાસર લખાણ લખો અને મહત્વના શબ્દો નીચે અંડરલાઇન કરવી4. છેલ્લી પંદર મિનિટમાં પેપર ચેક કરવું તથા કોઈ પણ નાની મોટી ભૂલ હોય તે સુધારી દો5. પુરવણી અને ગ્રાફનો પૂરતો ઉપયોગ કરો પ્રિ-બોર્ડનું પરિણામ આવ્યા બાદ સ્કૂલ માટે 5 સ્ટેપ એક્શન પ્લાન 1. સ્કૂલ દ્વારા દરેક વિદ્યાર્થીને તેના માર્ક્સ ક્યાં કપાયા છે તેનું વ્યક્તિગત માર્ગદર્શન આપવું2. જે વિષયમાં વધુ વિદ્યાર્થીઓ નબળા જણાયા હોય તેના માટે ખાસ ક્લાસ લેવા3. શ્રેષ્ઠ ઉત્તરવહીનું સ્કૂલમાં પ્રદર્શન કરવું, જેથી બીજા વિદ્યાર્થીઓ પેપર લખવાની રીત શીખ4. વાલીઓ સાથે મિટિંગ કરી વિદ્યાર્થીની પ્રગતિની જાણ કરવી ,ઘરે હકારાત્મકતા રાખવી5. ઓછા માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને તેમનો આત્મવિશ્વાસ વધારવો રિઝલ્ટ બાદ રિવિઝન માટેના સ્ટેપ્સ 1. જે ચેપ્ટરમાં માર્ક્સ કપાયા હોય તેની યાદી બનાવી રિવિઝનનો પ્લાન બનાવી ભૂલ સુધારો2. અઘરા વિષયોનું વાંચન દિવસના એવો સમય પસંદ કરો કે જ્યારે તમને જલ્દી યાદી રહી જાય3. જે મુદ્દા ન સમજાય તો શિક્ષકનો સંપર્ક કરો4. લખાણને શિક્ષકોની સૂચના મુજબ સુધારો5. હવે આખું પુસ્તક વાંચવાને બદલે માત્ર આકૃતિઓ અને મહત્વના પ્રશ્નો પર ધ્યાન આપો. ડો. ભગીરથસિંહ પરમાર,જિલ્લા શિક્ષણાધિકારી
દાનની વર્ષા થઈ:પાટીદાર સમાજનું ભવન બનાવવા માટે મેસેજ મુક્યાના 20 દિવસમાં જ 20 કરોડનું દાન મળ્યું
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા અશ્વની કુમાર રોડ પર નવા સમાજ ભવન નિર્માણ માટે ભુમિ પૂજન કરવામાં આવ્યું હતું. 1992માં જગ્યા લઈને સમાજ બનાવવામાં આવ્યો હતો પરંતુ વર્તમાન સમયની જરૂરિયાત મુજબ અત્યાધુનિક સુવિધા સાથે નવા ભવન નિર્માણ માટે નિર્ણય લેવાનો હતો. સંસ્થાના પ્રમુખ ભગવાનદાસ સવસાણીએ જણાવ્યું હતું કે ભવન નિર્માણ એ સામાજિક એકતાનું પ્રતીક છે.સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ હોય તેવુ પ્રથમ ભવન નિર્માણ થશે. 25 ડિસેમ્બરે સમાજમાં દાન માટે મેસેજ મૂકાયો હતો 15 જાન્યુઆરી સુધીમાં લગભગ 80 ટકા દાન મળી ગયું હતું. વીસ દિવસમાં 20 કરોડનુ દાન માત્ર ફોન પર લખાયું હતુ. સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાસજાળિયા એ જણાવ્યું હતું કે અત્યારે ભવન નિર્માણ કરવું એટલે માખણમાંથી ઘી બનાવવા જેટલું સહેલું કામ થઈ ગયુ છે. સમાજનો વિકાસ ટકાવી રાખવો હોય તો તમામે જાગૃત રહેવું પડશે. પરિવારમાં દીકરા દીકરીઓના ઘડતરમાં ખામી દેખાય છે સંસ્કારનું ઘડતર કરો સમાજમાં છુટાછેડા ના બને તે જરૂરી છે. ક્યાંક આપણી ખામી છે તેના માટે ગંભીરતા દાખવવી પડશે. સમાજને જરૂરત મુજબ નવી દિશા આપો : રૂપાલામુખ્ય મહેમાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આપણે ભવનો બનાવી રહ્યા છીએ પરંતુ તેની સાથે સાથે સમાજનું ઘડતર પણ કરવું પડશે. સામાજિક નિયંત્રણો રહ્યા નથી. પાટીદાર સમાજની જે શાખ હતી એ ધોવાઈ રહી છે. મોટી ઉંમરે લગ્ન થાય છે અનેક પ્રકારની ડિમાન્ડો ઊભી કરવામાં આવે છે જેના કારણે સમાજના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભા થાય છે. સમાજને જરૂરિયાત પ્રમાણે નવી દિશા આપવી પડશે. સમાજનું એક સ્થાયી ફંડ અને સમાજનું બંધારણ હોવું જોઈએ.
ઉતરાયણ પર્વમાં દાનનું ખૂબ જ મહત્વ હોવાથી લગભગ દરેક વ્યક્તિ પોતપોતાની શ્રદ્ધા અને શક્તિ મુજબ દાન કરતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મકરસંક્રાંતિના દિવસે સંતો ઘરે ઘરે ઝોળી દાન લેવા જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા પ્રમાણે વર્ષમાં માત્ર એક જ દિવસ સંતો ભક્તોના ઘરે જઈને અન્ન સહિતનો દાન પ્રાપ્ત કરે છે. એક સમય એવો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર અનાજ કે કઠોળ જ દાનમાં મળતુ પરંતુ વર્તમાન સમયમાં અનાજ, કઠોળ, ચોખા, ઘી,ગોળ, તેલ વગેરે જરૂરિયાતની તમામ વસ્તુઓ દાનમાં મળે છે. શહેરીકરણ અને વિસ્તારનો વ્યાપ વધી જતા સંતો દરેક જગ્યાએ પહોંચી શકતા નહીં હોવાથી અલગ અલગ ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારમાં ભક્તો જતા હોય છે કલાકુંજ સ્વામીનારાયણ મંદિરમાં નીલકંઠ ચરણદાસજી સ્વામીની આજ્ઞાથી 20થી વધારે ટીમોએ દાન એકત્ર કરવા માટે સેવા આપી હતી લગભગ 300થી વધારે હરિભક્તો વહેલી સવારથી સેવામાં જોડાયા હતા. મોટા વરાછા મંદિરના સતશ્રીએ જણાવ્યું હતું કે સમય સંજોગોના કારણે બધી જગ્યાએ પહોંચી શકાય નહીં પરંતુ અમારા સંતો નજીકના કોઈ એકાદ બે હરિભક્તોને ત્યાં જઈને પરંપરા જળવાઈ રહે તે માટે દાન મેળવે છે. બાકી બધી જ સેવા હરિભક્તોની ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે.
સોના-ચાંદીના ભાવમાં રોજ મોટી વધ-ઘટ થતાં રિયલ જરી બનાવતા ઉત્પાદકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં સુરત ફાઈન રિયલ જરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને તાકીદની બેઠક કરીને જરીના ભાવ રોજ જાહેર કરવા નિર્ણય લીધો છે. સુરતમાં જરી ઉદ્યોગના 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સંસ્થાએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. સુરત ફાઈન રિયલ જરી મેન્યુફેક્ચરર્સ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા મેમ્બરોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘આંતરરાષ્ટ્રીય બજારમાં સોના, ચાંદી જેવી કીમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે અને તેનાથી જરી ઉદ્યોગ સહિત વિશ્વભરના ઘણા ઉદ્યોગો પર સીધી અસર પડી રહી છે. પરિણામે જરીનાં ઉત્પાદનોની પડતર કિંમત દરરોજ વધી રહી છે અને એસોસિયેશનના સભ્યો માટે કોઈ ચોક્કસ નિશ્ચિત દર પૂરો પાડવાનું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. બીજી બાજુ, રોકાણો પણ વધી રહ્યાં છે, જેના કારણે કાર્યકારી મૂડીની સમસ્યા ઊભી થઈ રહી છે અને જરી ઉત્પાદકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં સોના અને ચાંદીમાંથી બનતી જરી વિશ્વમાં જાણીતી હતીસુરતમાં આ ઉદ્યોગ 100 વર્ષથી પણ જૂનો છે. અસ્સલ સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવેલી જરીનો ઉપયોગ સાડી અને ડ્રેસ મટીરીયલ્સમાં થતો હતો. 90ના દાયકામાં સુરતમાં રિયલ જરી બનાવતા 450થી વધારે કારખાનાઓ હતાં. પરંતુ આજના સમયે પ્લાસ્ટિક જરીનો પણ ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે રિયલ જરીના કારખાનાઓ ઘટી રહ્યાં છે. આ નિર્ણય લેવાયા: રોજનાં બુકિંગ લઈ કામ કરો, 30 દિવસની જ ઉધારી
ઉતરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા વન વિભાગે ‘કરૂણા અભિયાન’ શરૂ કર્યું છે. જેમાં 10થી 14 જાન્યુઆરી સુધીમાં કબૂતર, સમડી, કાગડા, પોપટ, બગલા, બ્લેક આઈબીસ, ઘુવડ, ચામાચીડિયાં, કાબર, ટીટોડી, કોયલ, મોર, કોકટેલ, ચકલી, સકરો જેવી 17 પ્રજાતિનાં 1841 પક્ષી રેસ્ક્યુ કર્યાં હતાં, જેમાં 211નાં મોત થયાં હતાં. આ અભિયાન 20મી સુધી ચાલશે. ઘાયલ પક્ષીઓની જાણ માટે વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન 99097-30030 પર સંપર્ક કરી શકાશે. શહેરી વિસ્તાર હોવાથી સૌથી વધુ 203 કબૂતર ભોગ બન્યાં
પાન-મસાલા, ગુટખાના ઉત્પાદકો ફરતે 1 ફેબ્રુઆરીથી ટેક્સના નવા દર લાગુ પડી રહ્યા છે અને સાથે જ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ ફરતે ગાળિયો પણ કસાયો છે. તમામ ફેકટરી પર કેમેરા ફરજિયાત જોઈશે અને 2 વર્ષના ફૂટેજ પણ રાખવા પડશે. જો કોઈ પાસે જૂનો એક્સાઇઝ નંબર હશે તો નવો લેવાનો નથી પરંતુ નંબર નથી તેમણે લેવો પડશે. જીએસટીના દાયરામાં આવતા અને મોટાપાયે ટોપ રેન્કિંગમાં ટેક્સની ભરપાઈ કરનારા પાન-પસાલા, ગુટખા અને જરદા, સુગંધી જરદાના ઉત્પાદકોને ત્યાં અગાઉ 28% GST ઉપરાંત સેસ પણ લાગતો હતો. જો કે, નવા નિયમ પ્રમાણે હવેથી 40 ટકા જીએસટી અને એકસાઇઝ ડ્યૂટી લાગશે. તમાકુ-ગુટખાનાં પાઉચના આધારે હવે ગણતરી કરાશેઉત્પાદકોએ મશીનરી પર એક કે તેથી વધુ પાઉચ દર મિનિટમાં કેટલા બનાવ્યા તેની ગણતરી અને અલગ-અલગ પાઉચની લાઇન હોય તો તેની તમામની ગણતરી આપી છે તે મુજબ પ્રોડક્શન ઓફ સ્ટોક રાખવો પડશે. આ સાથે ઉત્પાદકોએ એક્સાઇઝના પોર્ટલ પર ડેકલેરેશન ફોર્મ્સ સીઇ ડીઇસી-1 ફાઇલ કરવાનું રહેશે, જેમાંની વિગતો 7 ફેબ્રુઆરી સુધી અપલોડ કરવાની રહેશે. આ ડિકલેરેશન બાદ 90 દિવસમાં વિભાગ વેરિફિકેશન કરી શકે છે. હિસાબ રાખવાની આખી પદ્ધતિ જ બદલી દીધી છેટેક્સની સાથે પ્રોડક્શનને લગતી સિસ્ટમ પણ બદલાઈ છે. પાઉચની કિંમત રિટેલ પ્રાઇસની રૂપિયા 2 અને તેથી વધુ માટે દરેક પેકિંગ મશીન પર એક મહિના અને દર મિનિટમાં કેટલા પાઉચ પ્રોડક્શનની ગણતરી કરવામાં આવી છે તે મુજબ હિસાબ દર્શાવવાના રહેશે, જેને ઉત્પાદનનો જથ્થો ગણાશે. > કૃણાલ આઈસ્ક્રીમવાલા, એડવોકેટ
કરુણ બનાવ:દોરી આવી જતાં 2 યુવકનાં, પતંગની લ્હાયમાં પટકાતાં 2 યુવતીઓનાં મોત
ઉત્તરાયણમાં 4નાં મોત નીપજ્યા છે. ભાઠેના ફ્લાય ઓવર પાસે દોરી આવી જતા બાઈકચાલક સિટીબસની અડફેટમાં આવતા મોત નીપજ્યું હતું. વેસુમાં દોરી આવી જતા ગળું કપાઈ જતાં બાઈક સવારનું મોત થયું હતું. જ્યારે ભેસ્તાનમાં પતંગ ચગાવતા પહેલા માળેથી પટકાતા કિશોરીનું મોત થયું હતું. ચોથા બનાવમાં ઉતરાણમાં કન્સ્ટ્રકશન સાઈડ પર પતંગ પકડવા જતાં ત્રીજા માળેથી પટકાયેલી શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. વીઆઈપી રોડ પર દોરીથી ગળું કપાઈ જતાં બાઇકચાલકનું મોતસચિન રહેતો પ્રિન્સ બાથમ (23) વેસુ રિલાયન્સ મોલમાં કામ કરતો હતો. બુધવારે તે મોલમાં મિત્રોને મળી પરત ફરતો હતો ત્યારે દોરી આવી જતાં તેનું ગળું કપાઈ ગયું હતું. 108માં તેને સિવિલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સિવિલમાં માતાને ટિફિન આપવા જતો હતો ત્યારે બસ નીચે કચડાયોપરવટ રહેતો નિલેશ પોટૈયા (19) માતાનું પગનું ઓપરેશન હોવાથી સિવિલમાં છે. બુધવારે નિલેશ મિત્ર સાથે માતાને ટીફીન આપવા જતો હતો ત્યારે સમ્રાટ બ્રીજ નજીક દોરી આવી જતા બાઈક સાથે પટકાયો હતો, જેમાં માથા પરથી સિટીબસ ફરી વળતાં મોત થયું હતું. પતંગ ચગાવતા પહેલા માળેથી પટકાતા કિશોરીનું મોતભેસ્તાન રહેતી 16 વર્ષીય મન્ટુ ઘરે પહેલા માળે ટેરેસ પર પતંગ ચગાવતી વખતે સંતુલન ગુમાવી દેતા નીચે પટકાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતાં ટૂંકી સારવાર બાદ બુધવારે મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું.
નહેર પર કલ્વર્ટની કામગીરીને પગલે ડાયવર્ઝન અપાયું:અટોદરા-કરમલા રોડ પર ભારે વાહનોને 29મી સુધી પ્રતિબંધ
ઓલપાડ-સાયણ સ્ટેટ હાઇવે પર અટોદરા ચોકડીથી કરમલા તરફ જતા- આવતા ભારે વાહનો સામે 29 જાન્યુઆરી સુધી પ્રતિબંધ રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ આ રોડ પર અસનાબાદ નહેર પર બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરી કરાશે. જે સંદર્ભે વ્યવસ્થાને ધ્યાનમાં લઈ 29મી સુધી આ રોડ પર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર- જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે આ વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે જાહેર કરેલા રૂટ મુજબ અટોદરા ચોકડીથી કરમલા તરફ ભારે અને માલવાહક વાહનોને આવવા-જવા માટે શેરડી- વસવારી-દેલાડ- સાયણ તથા શેરડી-માસમા- ઓલપાડ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમણે જાહેરનામામાં જણાવ્યું છે કે, આ હુકમનો ભંગ કરનાર વાહનચાલક શિક્ષાને પાત્ર રહેશે. મહત્વનું છે કે, આ રોડ પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે અને જેને કારણે કામગીરી સરળતાથી પાર પડી શકે એ માટે રસ્તામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
અમદાવાદનો વિકાસ સતત થઈ રહ્યો છે. અમદાવાદમાં હાઇરાઇઝ બિલ્ડિંગને કારણે વિદેશોને પણ ટક્કર મારે તેવી સ્કાલલાઇન ભવિષ્યમાં જોવા મળશે તે નક્કી છે. એક સમયે પોળ ને પછી બંગલા ને હવે અમદાવાદમાં લક્ઝુરિયસ અપાર્ટમેન્ટનો ક્રેઝ વધતો ગયો છે. આટલું જ નહીં, વિદેશોની જેમ અમદાવાદમાં હવે સ્ટૂડિયો અપાર્ટમેન્ટ પણ બની રહ્યા છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં આઉટ ઑફ બોક્સ વિચારીને કંઈક અલગ કરી રહેલા ચિરાગ રાવની વાત 'સ્કાયલાઇનર્સ'ના આજના પાંચમા ને છેલ્લા એપિસોડમાં વાત કરીશું, ચિરાગ રાવે અમદાવાદમાં બનાવેલા ફાર્મહાઉસમાં કાર પાર્કિંગ નહીં પણ બોટ ને બોટિંગ એરિયા આપ્યો હતો. આટલું જ નહીં, તેઓ અમદાવાદમાં પહેલી જ વાર દરેક ઘર દીઠ સ્વિમિંગ પૂલનો કોન્સેપ્ટ લાવ્યા છે. વાતની શરૂઆત કરતા ચિરાગભાઈ કહે છે, 'પરિવારમાં પપ્પા સરકારી જૉબ કરતા ને બંને બહેનો ડૉક્ટર છે. મમ્મી હોમ મેકર ને મેં અમદાવાદમાંથી MBA વિથ ફાઇનાન્સ ને પછી LLBનો અભ્યાસ કર્યો. પરિવારમાં પહેલેથી જ એજ્યુકેશન પર વધારે ફોકસ રહેતું. આ સાથે જ પપ્પા સરકારી ઑફિસર હોવાને કારણે ઘરમાં ડિસિપ્લિનનો માહોલ રહેતો. ભણતો ત્યારે હોટલ કે રેસ્ટોરાંનું સપનું હતું. પછી તો MBA કર્યા બાદ ફેમિલી બિઝનેસ ટેક્સટાઇલ્સમાં જોડાવવા 2005માં સુરત ગયો. હું જોડાયો ત્યારે 48 પાવરલુમ્સ હતી, તે 200 સુધી પહોંચાડી.' 'પત્નીને બર્થડે ગિફ્ટમાં દુકાનો માગી'ટેક્સટાઇલ્સ બિઝનેસમાંથી કેવી રીતે રિયલ એસ્ટેટમાં આવ્યા તે પાછળની વાત કરતા ચિરાગભાઈ જણાવે છે, 'લગ્ન પછી રિયલ એસ્ટેટમાં આવવાનો ફાળો મારી પત્નીનો છે. લગ્નના એકાદ વર્ષ બાદ પત્નીનો બર્થ ડે હતો અને મેં તેને ગિફ્ટમાં શું આપું તેવું પૂછ્યું. સામાન્ય રીતે પત્ની કાર કે જ્વેલરી કે પછી બહાર જવાનું કહે, પરંતુ તેણે એવું કહ્યું કે તું નહીં આપી શકે. મેં ભાર પૂર્વક આગ્રહ કર્યો કે તું કહીશ એ આપીશ. મારી પર એટલો વિશ્વાસ તો રાખ. પછી તેણે મારા આશ્ચર્યની વચ્ચે ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાન ગિફ્ટમાં માગી. મેં સારું કહીને વાત ત્યાં પૂરી કરી. તે સમયે મેં ક્યારે રિયલ એસ્ટેટમાં કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું નહોતું. હવે વાઇફને ગિફ્ટ આપવી તે નક્કી હતી એટલે પછી એક ચેનલ પાર્ટનરને વાત કરવા બોલાવ્યા ને કહ્યું કે એક ફ્રેશ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન જોઈએ છીએ. એ જ્યારે આવ્યા ત્યારે કાગળ એકદમ ગરમ હતો. મેં પૂછ્યું કે આ કેમ આટલું ગરમ છે? તો તેમણે જવાબ આપ્યો કે બિલ્ડરે અત્યારે જ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે અને પ્રિન્ટ એટલી ગરમ છે કે ત્યાંથી સીધી તમારા ત્યાં લઈને આવ્યો છું. તમારે જે દુકાન જોઈશે તે મળી જશે.' '30 લાખની સામે દોઢ કરોડનો પ્રોફિટ''મનમાં ખબર નહીં શું થયું કે મેં એવું પૂછી નાખ્યું કે આ બધી દુકાનો લઉં તો ભાવમાં કંઈ કરી આપે ખરા? તેણે હા પાડી પછી તરત જ એવું થયું કે આ દુકાનો વેચાઈ જાય ખરા? તો તેણે વિશ્વાસ અપાવ્યો કે તે બધી દુકાનો વેચી આપશે. તેની વાતોથી મારામાં હિંમત આવી ને મેં કંઈક કમાવવાના આશયથી ત્યારે બારે બાર દુકાનો ખરીદી. 2010માં સુરતના ભટાર સાઇડ આ પ્રોજેક્ટ હતો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે રિયલ એસ્ટેટ શું છે. હું ત્યાં સુધી કાપડનો બિઝનેસ કરતો. મેં 12 દુકાનો 30 લાખમાં ખરીદી હતી અને દોઢ કરોડનો પ્રોફિટ થયો. મને થયું કે ટેક્સટાઇલમાં તો આટલા પૈસા ક્યારેય મળે જ નહીં. હવે તો રિયલ એસ્ટેટમાં જ કામ કરાય.' 'આર્કિટેકે પૂછ્યું, તારે બિલ્ડર બનવું છે?''થોડા સમય બાદ મારે સુરતમાં જ ફેક્ટરી શરૂ કરવી હતી, પરંતુ ઇન્ડસ્ટ્રિયલ પ્લોટમાં NA (નોન-એગ્રીકલ્ચર) મળતું નહોતું. આ અંગે ઘણી પૂછપરછ કરી અને એવામાં એક આર્કિટેક પાસેથી જાણવા મળ્યું કે ખેડૂત ફરી સહી કરે તો જ મળે. હવે જે ખેડૂત પાસેથી પ્લોટ લીધો હતો તે ફરી સહી કરવા તૈયાર નહોતો. પછી તો આખી સોસાયટીના NA માટે બધા જ ખેડૂતોને ભેગા કર્યા ને તેમને પૈસા આપ્યા ને પછી NA લીધું. તે આર્કિટેકને ત્યારે લાગ્યું કે મારામાં રિયલ એસ્ટેટમાં કંઈક કરવાનું જૂનુન તો છે. તેઓ સુરતમાં કંઈક પ્રોજેક્ટ લૉન્ચ કરવાના હતા. તેમણે મને એવું પૂછ્યું કે તારે બિલ્ડર બનવું છે? હું 26-27 વર્ષનો હતો અને આ ઉંમરે તરવરાટ તો હોય જ એટલે મેં તો તરત જ પાર્ટનર બનવાની હા પાડી. અમે ત્યારે સુરતના પાંડેસરામાં અફોર્ડેબલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ આર્કેડ લૉન્ચ કર્યો હતો.' 'કુળદેવીની કૃપાથી માત્ર 7 દિવસમાં 260 ફ્લેટ ટોકન લીધા વગર વેચ્યા''પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ને તે આર્કિટેકે એક ભાઈ સાથે મુલાકાત કરાવીને કહ્યું કે આ પૈસા નહીં આપે, પરંતુ તમામ ફ્લેટ વેચાવી દેશે. પૈસા વગર તેમની પાર્ટનરશિપ 35% હતી. હું નિશ્ચિત બનીને મારા ટેક્સટાઇલ્સ બિઝનેસમાં ધ્યાન આપવા લાગ્યો. મને તો એવું જ હતું કે તે ભાઈ બધું વેચી દેશે. બે મહિના બાદ મળવા ગયો ત્યારે તે બંનેના ચહેરા પર નિરાશા હતી. તેમણે કહ્યું કે ફ્લેટ વેચાતા નથી. દુકાનો થોડીક વેચી. મને તો ત્યારે એકદમ આંચકો લાગ્યો. મને ત્યારે સ્ક્વેરફૂટ ને સુપરબિલ્ટ અપ... કે રિયલ એસ્ટેટની ટર્મિનોલોજીની કંઈ જ ખબર નહોતી. મેં ત્યારે તેમને આ બધું સમજાવવાનું કહ્યું. તેમણે લે આઉટ કાઢ્યો ને દોઢ-બે કલાક સુધી બધું સમજાવ્યું ને હું ડાયરીમાં મુદ્દા ટપકાવતો રહ્યો. પછી તો લે આઉટ લઈને ઘરે ગયો. એક દિવસ સુધી આમાં બધું મનોમંથન કર્યું અને પછી ત્યાંના સ્થાનિક ચેનલ પાર્ટનરને બોલાવ્યા. મેં ત્યારે છ ચેનલ પાર્ટનરની ટીમ બનાવી હતી. 2013માં 5% બ્રોકરેજ ઑફર કરી. આટલું જ નહીં, હું ત્યારે સ્કીમ લઈને આવ્યો કે એક પણ રૂપિયા લીધા વગર એટલે કે ટોકન વગર ઘર કે ઑફિસ બુક કરીશ. 10 દિવસ સુધી ટોકન નહીં આપો ત્યાં સુધી હોલ્ડ રાખીશ. ઘર 5 ને 10 લાખના હતા. કુળદેવીની કૃપાથી માત્ર સાત દિવસની અંદર આખો પ્રોજેક્ટ 260 ફ્લેટ વેચાઇ ગયો.' 'વગર પૈસે ભાગીદાર બન્યો''હવે એવું બન્યું કે આ સ્કીમની સામે જ ઓમ પ્રોજેક્ટ હતો. ત્યારે મારા દીકરાનો જન્મ થઈ ગયો હતો અને તેનું નામ પણ ઓમ હતું. મને આ પ્રોજેક્ટમાં ભાગીદાર થવાનો રસ હતો, પરંતુ મારી પાસે પૈસા નહોતા. હવે અમારા ત્યાં એટલું બધું બુકિંગ આવ્યું કે ઓમ પ્રોજેક્ટના પણ ઘણા ફ્લેટ વેચાઈ ગયા. તે પ્રોજેક્ટના માલિક બકુલભાઈ કોઠિયા હતા. તેમને ખ્યાલ હતો કે મારે પ્રોજેક્ટમાં ભાગીદાર થવું છે તો તેમણે મને ફોન કરીને મળવા બોલાવ્યો ને જ્યારે અમે મળ્યા તો તેમણે સીધું જ કહ્યું કે છોકરા, તે એવું તો શું કર્યું કે તારા ફ્લેટ તો વેચાઈ ગયા અમારું પણ વેચાઈ ગયુ. મેં માત્ર એમ જ કહ્યું કે નોર્મલ વેમાં જ કામ કર્યું છે. તેમણે ભાગીદારીના ડોક્યુમેન્ટ તૈયાર રાખ્યા હતા. મને સહી કરવાનું કહીને ભાગીદારી ઑફર કરી. અલબત્ત, મેં સ્પષ્ટતા કરી કે મારી પાસે પૈસા નથી. તેમણે વગર પૈસે ભાગીદાર બનાવ્યો. હું એટલું શીખ્યો કે વહેંચીને ખાવું. ચેનલ પાર્ટનરને પહેલા ને આજે પણ મહત્ત્વના વ્યક્તિ ગણું છું. તેઓ પિલ્લર સમાન છે.' 'અમદાવાદમાં માત્ર 21 રૂપિયાના ટોકનથી ફ્લેટ વેચ્યા'અમદાવાદ કેવી રીતે આવવાનું થયું તે અંગે ચિરાગભાઈ જણાવે છે, ’સસરા એડવોકેટ જનકભાઈ મારા ગુરુ ને મેન્ટોર છે. હું તેમની પાસેથી જ રિયલ એસ્ટેટ શીખ્યો. અમે તેમને 'સાહેબ' કહીને બોલાવીએ. એકવાર તેમણે કહ્યું કે મારે હવે અમદાવાદમાં રિયલ એસ્ટેટનું કામ કરવું જોઈએ. આ અંગે વિચાર્યું ને અમદાવાદ શિફ્ટ થયો. 2013ની આસપાસ પૂર્વ અમદાવાદમાં તેમનો એક પ્રોજેક્ટ પૂરો થયો પણ વેચાતો નહોતો. તેમણે એ પ્રોજેક્ટ વેચવાની જવાબદારી આપી. મેં માત્ર 21 રૂપિયા ટોકનમાં ફ્લેટ બુક કરાવો તેવી સ્કીમ શરૂ કરી. આ જ કારણે આસપાસના બિલ્ડર્સ ગુસ્સે થયા કે આવી તે કંઈ સ્કીમ હોય. મિડલ ક્લાસ પરિવાર પાસે નાની રકમ જ હોય અને અમે પૂછતા કે 21 રૂપિયા હોય તો ફ્લેટ બુક કરી દો. હું 21 રૂપિયાના ટોકન સામે 500 રૂપિયાનો ખર્ચ કરતો હતો, જેમાં પરિવાર ફ્લેટ બુક કરાવે એટલે અમે આઇસક્રીમ ખવડાવીએ, ફોટો ક્લિક કરીને આપીએ. આ રીતે બધા ફ્લેટ વેચ્યા. પછી નક્કી કર્યું કે ઇસ્ટ અમદાવાદમાં નહીં પણ માત્ર વેસ્ટમાં જ કામ કરીશું.’ 'વેસ્ટ અમદાવાદનો પહેલો પ્રોજેક્ટ'ચિરાગભાઈએ પશ્ચિમ અમદાવાદના પહેલા પ્રોજેક્ટ અંગે જણાવ્યું, ’અમારો પહેલો પ્રોજેક્ટ શ્રેયા એન્ટિલિયા 4 BHKનો હતો અને જાણીતા આર્કિટેક અપૂર્વ અમીન હતા. અમે એન્ટેલિયા નામ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પરથી જ રાખ્યું છે. જ્યારે અમે પ્રોજેક્ટનું કેમ્પેઇન કર્યું ત્યારે એ જ રીતે કર્યું હતું કે વી વેલકમ એસપાયરિંગ અંબાણી ઑફ અમદાવાદ. (અમે અમદાવાદના અંબાણીને વેલકમ કરીએ છીએ.) એન્ટિલિયાનો અર્થ ધરતી પરનું સ્વર્ગ એવો થાય છે. એન્ટિલિયાની પેટર્ન થઈ ગઈ છે એટલે અમે આગળ અમારી કંપનીનું નામ મૂકીને પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. ત્યારબાદ અમે સિંધુ ભવન પર અમાલગા, શ્રેયા એન્ટિલિયા કર્મશિયલ ને અમદાવાદના R3 ઝોનમાં પ્લોટિંગ ને ફાર્મહાઉસનો પ્રોજેક્ટ કર્યો. હાલમાં શીલજમાં 4 BHK, ગાંધીનગરમાં 3 BHK તથા ફાર્મહાઉસમાં એક્સપાન્સનું કામ ચાલે છે.’ ’અમારો કર્મશિયલ પ્રોજેક્ટ અમાલગા હતો. જ્યારે કર્મશિયલ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે મારા પાર્ટનર રવિભાઈ સિવિલમાં એક્સપર્ટ ને હું સેલ્સમાં. મને ખાસ કર્મશિયલ વેચવાનો અનુભવ નહોતો. 86 શો-રૂમ બે મહિના સુધી પડી રહ્યા. હું બનતા પ્રયાસો કરતો પણ કોઈ લે નહીં. ફરી એકવાર ચેનલ પાર્ટનર મારા હનુમાન બન્યા ને 60 દિવસમાં 60% પ્રોજેક્ટ વેચી નાખ્યો હતો.’ 'અમદાવાદના ફાર્મહાઉસમાં પ્રાઇવેટ બોટિંગ એરિયા ને બોટ ફ્રીમાં આપી'ચિરાગભાઈ અમદાવાદ ને ગાંધીનગરના પ્રોજેક્ટની યુનિકનેસ અંગે વાત કરતા કહે છે, ’મારું પહેલેથી જ નક્કી હતું કે હું સિમ્પલ પ્રોજેક્ટ કરીશ નહીં. હું આઉટ ઑફ ધ બોક્સ વિચારીને જ કામ કરું છું. એન્ટિલિયા કર્યું ત્યારે વર્ટિકલ ગાર્ડનનો કોન્સેપ્ટ અમદાવાદમાં પહેલી જ વાર લૉન્ચ કર્યો. સામાન્ય રીતે ઑફિસ કોમ્પ્લેક્સમાં એક ઑફિસ રોડ સાઇડ ને બીજી પાછળની સાઇડ હોય, પરંતુ અમે કર્મશિયલ બિલ્ડિંગમાં તમામ ઑફિસ રોડ ફેસિંગ હોય તે જ રીતે બનાવી. ફાર્મહાઉસ બનાવ્યું તો કાર પાર્કિંગ બધા જ આપે પણ અમે દરેકને પ્રાઇવેટ બોટિંગ એરિયા આપીને પ્રાઇવેટ બોટ આપી.’ 'અમદાવાદમાં પહેલી જ વાર 22 માળની બિલ્ડિંગમાં 44 સ્વિમિંગ પૂલ'’શીલજમાં અમે અમદાવાદમાં 4 BHKનો પ્રોજેક્ટ કરીએ છીએ. હવે નવું શું લાવવું તે એક સવાલ હતો. પછી ફ્લેટ એવી રીતે ડિઝાઇન કર્યો કે દરેક ફ્લેટમાં પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ આપ્યો. સ્વિમિંગ પૂલ કહું એટલે કોઈના પણ મનમાં એ વિચાર આવે કે તમે ખાબોચીયું આપશો ને તેમાં માણસ બેસી શકે પણ તરવાનું કેવી રીતે? તમે જે રીતે ટ્રેડમિલ પર દોડી શકો તે જ રીતે તમે એકની એક જગ્યાએ અડધો કલાક તરી શકો. આ સ્વીમ સ્પા ટેક્નોલોજી છે. પાણીનો અવાજ પણ એવો મધુર આવે કે બિયાસ નદી આગળ બેઠા હોઈએ તેમ ખળખળ આખા ઘરમાં સંભળાય. 22 માળના ફ્લેટમાં એક ફ્લોર પર બે ફ્લેટ છે એટલે 44 સ્વિમિંગ પૂલ બાલ્કનીમાં આપ્યા. અમદાવાદમાં આવું પહેલી જ વાર થઈ રહ્યું છે. આ ઉપરાંત બાલ્કની પણ 21*10 ફૂટની એટલે કે બંગલા જેવી ફિલિંગ આવે. ગાંધીનગરમાં પણ પહેલી જ વાર 3 BHKમાં 5 બાલ્કની આપી છે. 'ક્રોમ એટલે શું?'ક્રોમ ગ્રુપના નામ અંગે વાત કરતા ચિરાગભાઈ કહે છે, ’થોડું જ્યોતિષ ને થોડી લાગણી જોડાયેલી છે. મારા દીકરાનું નામ ઓમ છે તો મારે એવુ નામ રાખવું હતું કે જેમાં ઓમ આવે. મારા માટે ‘K’ હંમેશાં લકી રહ્યો છે. બહુ વિચાર કર્યા બાદ ક્રોમ નામ મળ્યું. દરેકને ત્રણ વસ્તુ એક્સ્ટ્રિમ જોઈએ. હેલ્થ, આધ્યાત્મિકતા ને પૈસા. ક્રોમનો અર્થ થાય છે કે એક્સ્ટ્રિમ ઑફ ફોર્ચ્યુન, હેલ્થ સ્પિરીચ્યુઆલિટી. આ ત્રણેયનું સમાગમ એટલે ક્રોમ.’ 'પૈસાદાર વર્ગમાં હોમ-ઑફિસ બાદ ફાર્મહાઉસનો કોન્સેપ્ટ આવ્યો'રિયલ એસ્ટેટમાં આવેલા ફેરફાર અંગે વાત કરતા ચિરાગભાઈ કહે છે, ’સુરત ને અમદાવાદના રિયલ એસ્ટેટમાં ડિસિઝન મેકિંગનો મેજર ડિફરન્સ છે. સુરતના લોકો ઘણા જ ફાસ્ટ છે, તેઓ આવે ને પાંચ મિનિટમાં નિર્ણય લેશે. અલબત્ત, અમદાવાદમાં તકો વધારે છે. અમદાવાદ ગુજરાતનું ફાઇનાન્સિયલ હબ છે એટલે જ અહીંયા પૈસો ઘણો જ વલોવાય છે. પબ્લિકનો બાઇંગ પાવર સારો, NRIનું રોકાણ વધારે, માઇગ્રેશન વધુ. પહેલાં શહેરમાં પાંચ કે છ માળ ને પછી 10-12-14 માળની સ્કાયલાઇન હતી. હવે 22-40 માળના બિલ્ડિંગ જોવા મળશે. પહેલાના ડેવલપર્સ સામાન્ય અપાર્ટમેન્ટ બનાવતા. હવે ડેવલપર એમિનિટિઝથી લઈને નાનામાં નાની બાબત પર ધ્યાન આપે છે. જે રીતે લાઇફસ્ટાઇલ બદલાઈ તે જ રીતે રિયલ એસ્ટેટમાં ફેરફાર આવ્યો. બીજું કે પૈસાદાર વર્ગમાં પહેલા ફ્લેટ ને ઑફિસનો ટ્રેન્ડ હતો. કોરોના પછી વીકેન્ડ હોમ ઉમેરાયું. લાઇફસ્ટાઇલમાં અપગ્રેડશન વધ્યું છે. લોકોને લાગ્યું કે પૈસા કમાઈ છીએ તેને વાપરીએ. આ જ કારણે પ્રીમિયમ ફ્લેટનું ચલણ વધ્યું.’ કેમ પ્રીમિયમ મકાનો મોંઘા?’ફ્લોરિંગથી લઈને મોંઘી બ્રાન્ડ્સનો ઉપયોગ કરવામાં આવે. એસી લિફ્ટ હાઇસ્પીડની હોય. બારીઓ સાઉન્ડપ્રૂફ હોય. મુંબઈના જુહૂમાં બધા બોલિવૂડ સેલેબ્સ રહે છે એટલે તે એરિયા પોશ છે. અમદાવાદનું જુહૂ એટલે R3 ઝોન કહેવાય. અમદાવાદના જેટલા પણ કરોડપતિ લોકો છે. ત્યાં જમીન લિમિટેડ છે અને આ જ કારણે ભાવ સતત વધ્યા ને વધી.’ 'અમદાવાદ એકમાત્ર R3 ઝોનથી બ્લેસ્ડ'ચિરાગભાઈએ કહ્યું, ’એસ.જી હાઇવેનો ઉપરનો ભાગ R2 ઝોન કહેવાય. R2 ઝોન એક સીમારેખન પછીનો 100 ફૂટનો પેરલલ રોડ વૈષ્ણોદેવીથી સરખેજ સુધીનો છે. એના પછીનો પટ્ટો ને રિંગરોડ વચ્ચેનો ભાગ R3 છે. ગુજરાતમાં અમદાવાદ એક માત્ર એવું શહેર R3 ઝોનથી બ્લેસ્ડ છે. અમદાવાદમાં અત્યારનો સૌથી મોંઘો વિસ્તાર આંબલી ને સિંધુ ભવન છે. આ વિસ્તાર R3 ઝોનની નજીક છે. આ વિસ્તારમાં જેટલું પોશ ક્રાઉડ શિફ્ટ થયું તે પ્રમાણે ભાવ વધતા ગયા.’ 'કોમનવેલ્થથી 40-50 હજાર કરોડનો ગ્રોથ થશે'ચિરાગભાઈ સ્પષ્ટપણે માને છે, ’જ્યારથી કોમનવેલ્થની જાહેરાત થઈ ત્યારથી તેજીની વાતો થઈ રહી છે. આ પહેલા 2022માં ઇંગ્લેન્ડમાં અને 2026માં સ્કોટલેન્ડ ને 2030માં અમદાવાદમાં રમાશે. 2022માં ઇંગ્લેન્ડમાં 15 હજાર કરોડ રૂપિયાનો ગ્રોથ થયો હતો. અમદાવાદમાં 8%ના દરેથી 2030માં ચાલીસથી પચાસ હજાર કરોડનો ગ્રોથ આવશે. કોમનવેલ્થથી હોટલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. ટ્રાવેલ, ટ્રાન્સપોર્ટેશન વધશે. હોંગકોંગ, સિંગાપોર જેવી જ સ્કાયલાઇન અમદાવાદમાં જોવા મળશે. અદાણી શાંતિગ્રામ, ગોદરેજ, આંબલી પર જઈને જોઈએ તો એક સ્કાયલાઇન દેખાશે. હાલમાં અમદાવાદમાં 22 માળથી 40-50 માળની બિલ્ડિંગ બની રહી છે. 2030 સુધીમાં આવી ઘણી બિલ્ડિંગ બનશે. અમદાવાદ ને અમદાવાદીઓ વિદેશીઓની જેમ જ ફેમસ થવાના જ છે.’ 'રિંગ રોડની બહાર 1-2 બેડરૂમ બને છે, અમદાવાદમાં સ્ટૂડિયો અપાર્ટમેન્ટનો ટ્રેન્ડ'’સરકારે અફોર્ડેબલ ઝોન રિંગ રોડની બહારના ભાગમાં આપ્યો છે. રિંગ રોડની બહાર પુષ્કળ પ્રમાણમાં એક ને બે બેડરૂમના ફ્લેટ બને છે. આ વિસ્તારને કનેક્ટ કરવા માટે મેટ્રોની સુવિધા છે. પ્રીમિયમ વિસ્તારમાં વન કે ટુ BHK નથી બનતા પણ થલતેજ, બોડકદેવ, સીજી રોડ પર સ્ટૂડિયો અપાર્ટમેન્ટ બને છે, જેમાં એક જ હોલ હોય અને તેમાં ડ્રોઇંગરૂમ, રસોડું, બેડરૂમ, ડાઇનિંગ, બાથરૂમ આવી જાય તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. ટૂંકમાં 1 BHKથી પણ નાનો રૂમ. આ સ્ટૂડિયો અપાર્ટમેન્ટ માત્ર કપલ માટે ઉપયોગી છે. જગ્યા ઓછી હોવાને કારણે વિદેશમાં આ કોન્સેપ્ટ ઘણો જ ચાલ્યો છે અને હવે અમદાવાદમાં પણ ઇન ટ્રેન્ડમાં છે.’ 'પ્રોજેક્ટ લોન ક્યારેય લેતો જ નથી'ચિરાગભાઈ કહે છે, ’સુરતમાં ભાગીદારીમાં બિલ્ડર બન્યો ને તેમના અંદરોઅંદરના ડખાને કારણે હું ફસાયો ને હતાશ પણ થયો. અલબત્ત, આ બધામાંથી શીખવા મળ્યું કે જીવનમાં આવી ભૂલ કરવાની નહીં. ભાગીદારી કોની જોડે કરવી, ના કરવી તે શીખ્યો. ભાગીદારી કરવી સહેલી છે પણ નિભાવવી અઘરી છે. ભૂલ તો થાય પણ રીપિટ ના થાય તેનું ધ્યાન રાખવું. સુરતના અનુભવ બાદ નક્કી કર્યુ કે પ્રોજેક્ટ લોન લઈશ નહીં. અત્યાર સુધીના એક પણ પ્રોજેક્ટમાં લોન લીધી નથી. હું લોનની વિરુદ્ધમાં નથી પણ કોરોના જેવો સમય સરળતાથી પસાર થયો, કારણ કે મારા માથે કોઈ લોન નહોતી અને દર મહિને હપ્તો ચૂકવવાનો નહોતો. ઘરે બેસીને ફેમિલી ટાઇમ એન્જોય કર્યો. સ્ટાફનો એક રૂપિયાનો પગાર કાપ્યો નહોતો. ચેનલ પાર્ટનરને પણ આર્થિક રીતે મદદ કરી. પ્રોજેક્ટ હું સેલ્ફ ફંડ ને ઇન્વેસ્ટર્સના પૈસાથી બનાવું છું. અમે શરૂઆતથી લઈ એક્ઝિટ સુધી ઇન્વેસ્ટર્સ સાથે રહીએ. રિયલ એસ્ટેટમાં એન્ટ્રી સહેલી છે પણ એક્ઝિટ અઘરી છે પણ ડેવલપર એક્ઝિટમાં પણ સપોર્ટ કરે તો ઇન્વેસ્ટર્સ સતત સાથે જ રહે.’ 'RERA અપ્રૂવલના ઘર લો'ચિરાગભાઈ સલાહ આપતા કહે છે, ’જ્યારે પણ ઘર લો ત્યારે RERA અપ્રૂવલ હોય તો જ લો. RERA દરેક બિલ્ડર સ્કીમ શરૂ કરે એટલે બોર્ડ લગાવવાનું કહે છે અને તેમાં બિલ્ડરે પ્રોજેક્ટ લોન લીધી છે કે નહીં તે પણ લખ્યું હોય છે. બિલ્ડરે કઈ બેંકમાંથી લોન લીધી એ ખાસ જોવું. જ્યારે જ્યારે પૈસા આપો ત્યારે બેંકની NOCની અવેરનેસ રાખવાની.’ 'ડેવલપર ક્વૉલિટીને મહત્ત્વ આપે છે'’ક્વૉલિટી ચેક કરવી હોય તો સ્ટ્રેન્થ ચકાસવી. ફિનિશિંગ પરથી ખ્યાલ આવે, બિલ્ડરના ભૂતકાળના પ્રોજેક્ટ જુઓ. નવો જ ડેવલપર છે તો તેને મટિરિયલ અંગે સવાલ કરો. કહેવત છે ને કે પૂછતો નર સદા સુખી. એમ તમે સવાલો કરશો તો અવેરનેસ આવશે. બિલ્ડિંગમાં માત્ર બાહ્ય દેખાવ નહીં પણ સ્ટ્રેન્થ સ્ટ્ર્ક્ચર પણ મહત્ત્વનું છે. હાઇ રાઇઝ બિલ્ડિંગમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તથા CEO ઑફિસર હોય છે. આ ઑફિસર સમયાંતરે સ્ટ્રેન્થ ચેક કરે. આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ફરજિયાત છે અને આ જ કારણે હવે ક્વૉલિટીમાં ચેડા થવાની શક્યતા નથી.’ 'ભાવ તો નહીં ઘટે'ચિરાગભાઈ માને છે, ’ભાવ ઘટશે તેમ ના કહી શકાય. કદાચ સારું ફંડ હોય તે બિલ્ડર થોડો ભાવ ઘટાડે એ અલગ વાત છે. અત્યારનો સમય બેસ્ટ છે. મિલકત ખરીદવાની હોય ત્યારે હંમેશાં મોંઘી જ લાગે. એક સમયે અમદાવાદમાં 3 BHK 25-30 લાખમાં મળતા. આજે તેનો ભાવ બધાને ખબર જ છે. મકાન કે પ્રોપર્ટી જ્યારે પણ લેવી હોય ત્યારે આ ત્રણ બાબતો લોકેશન, પ્લાનિંગ ને ઇન્વેટરી ખાસ ધ્યાનમાં રાખો.’ ’કોઈ પણ પ્રોજેક્ટનું લોકેશન કેવું છે, પ્લાનિંગ કેવું છે અને નંબર ઑફ યુનિટ કેટલા છે તેના પર નિર્ણયો લેવો. આ ત્રણ બાબતો ઇન્વેસ્ટમેન્ટ માટેનો ગુરુમંત્ર છે. ઇન્વેટરીની વાત કરીએ તો તમે 500 ઑફિસના કોમ્પ્લેક્સમાં ગયા ને તમે જ્યારે વેચવા કાઢશો ત્યારે 500માંથી ઘણા વેચવા માટે લાઇનમાં ઊભા હશે. આ લૉજિક રેસિડેન્શિયલમાં પણ લાગુ પડે છે. હવે એ વાત પણ એટલી જ સાચી કે બધા ઓછા યુનિટના ફ્લેટ કે ઑફિસ બનાવે નહીં. એટલા માટે જ જ્યારે યુનિટ્સ વધારે હોય ત્યારે પ્રોજેક્ટ કઈ જગ્યાએ, કયા એરિયામાં ને ક્રાઉડ કેવું છે તે આધારે ઇન્વેસ્ટ કરવું કે નહીં તે નક્કી કરાય.’ 'રિયલ એસ્ટેટમાં પૈસા વગર કેવી રીતે આવી શકાય?'છેલ્લે ચિરાગભાઈ સલાહ આપે છે, ’રિયલ એસ્ટેટમાં પૈસા વગર આવવું હોય તો સૌથી સારા ચેનલ પાર્ટનર બનીને આવી શકાય. આપણે ઇન્ડિયન્સ આપણા ટાઇમની વેલ્યૂ કરતા નથી. આપણે વિદેશીઓ પાસેથી શીખવાની જરૂર છે. તેઓ અડધો કલાક તમને આપશે તો તેના પૈસા લેશે. એવી જ રીતે ચેનલ પાર્ટનર બનવું જોઈએ. તમે ખ્યાલ હોય કે કોઈકને ઘર કે કંઈક લેવું છે તો તમે તેમને સજેશન આપો છો અને તે ફ્લેટ લે છે. આ દરમિયાન તમે કંઈ જ લેતા નથી, પરંતુ વાસ્તવમાં તમારે પૈસા લેવા જોઈએ. તમે તમારો સમય ને એનર્જી ઇન્વેસ્ટ કરી છે. અમે રેફરલ પણ આપી છીએ. જો કોઈ કસ્ટમર અમારા ત્યાં ફ્લેટ બુક કરે અને જો તે તેના મિત્ર કે ઓળખીતાને ત્યાં ફ્લેટ કે દુકાન અપાવે તો અમે રેફરલ રકમ આપીએ. રેફરલ ને કન્સલ્ટન્સી બેસ્ટ છે. આગામી 10 વર્ષો તો અમદાવાદ જોરદાર ચાલવાનું છે. મારા મતે તો, ચેનલ પાર્ટનર તરીકે આજથી શરૂઆત કરવી જોઈએ.’
બુલેટ ટ્રેન. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી દેશની પહેલી હાઇસ્પીડ રેલ. હાલ આ પ્રોજેક્ટના કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. આંખના પલકારે નીકળતી બુલેટ ટ્રેનનું ગુજરાતનું સૌથી ધમધમતું પ્લેટફોર્મ હશે અમદાવાદનું કાલુપુર. 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ' સિરીઝમાં દિવ્ય ભાસ્કર કાલુપુર બુલેટ સ્ટેશનની ડિઝાઈનનો ફર્સ્ટ લૂક બતાવશે. 17 જાન્યુઆરી અને શનિવારે આ પ્રોજેક્ટનો વીડિયો જોઈ શકશો. જેનો પ્રોમો વીડિયો જોવા માટે તમે ઉપરના ફોટો પર ક્લિક કરો.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાને 20 જાન્યુઆરીએ એક વર્ષ થશે. તેમણે આવતાંની સાથે જ ઇમિગ્રન્ટસ માટે નિયમો કડક કરવાનું શરૂ કરી દીધું હતું. અમેરિકા ફર્સ્ટની નીતિના કારણે વર્ષોથી અમેરિકામાં રહીને ત્યાંની ઇકોનોમીને મજબૂત કરતાં લોકોને પણ તકલીફ પડી રહી છે. જેનો વધુ એક નમૂનો ડિસેમ્બર મહિનામાં આવ્યો છે. અમેરિકામાં કોઇ બોગસ વ્યક્તિઓ ઘૂસી ન જાય એ માટે ટ્રમ્પે સ્ટુડન્ટ અને વિઝિટર વિઝા માટે સોશિયલ મીડિયા ચેક કરવાનું ફરજિયાત કર્યું હતું. તેમણે 15 ડિસેમ્બરથી આ નિયમ H1B અને H4 કેટેગરીના વિઝાધારકો માટે પણ લાગુ કર્યો છે. જેના લીધે વતન આવેલા ઘણા ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે અને હવે તે અમેરિકા પાછા જઇ શકશે કે નહીં તેની દુવિધામાં છે. આમાં ગુજરાતીઓ પણ સામેલ છે. કેટલાય લોકો એવા છે જે ઇન્ડિયા આવી ગયા બાદ તેમની ઉપર લટકતી તલવાર છે. કેટલાકના લગ્ન અટક્યા છે તો કેટલાકના ફરીથી અમેરિકા જઇ શકે તેમ નથી. દિવ્ય ભાસ્કરે ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર અને ભાવિન ઠાકર પાસેથી આ નવા નિયમોના કારણે કેવી પરિસ્થિતિ સર્જાઇ છે તેની માહિતી મેળવી હતી. નવા નિયમોના કારણે કેવી સ્થિતિ સર્જાઇ?જો કોઇ H1 વિઝાધારક ભારત આવે અને તેમને વિઝા રિન્યૂ કરાવવાના હોય પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવાના નવા નિયમના કારણે સ્ટેમ્પિંગની ડેટ કેન્સલ થઇ જાય છે. સ્ટેમ્પ ન હોવાથી તે પાછા અમેરિકા નથી જઇ શકતા. જો તેની કંપની 4-6 મહિના વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપે તો જ H1 વિઝા રહે, નહીંતર નોકરી જતી રહે. જો નોકરી જતી રહે તો સરકારને જાણ કરવી પડે. 90 દિવસમાં નવી નોકરી ન મળે તો H1નું સ્ટેટ્સ જતું રહે છે. એક કન્સલ્ટન્ટે નામ ન આપવાની શરતે સોશિયલ મીડિયા વેટિંગ સાથે જોડાયેલા બે લોકોના કિસ્સા કહ્યા. જે આ પ્રમાણે છે. કિસ્સો-1એક પરિવારના મોભી રાજ શાહ (નામ બદલેલું છે) અમેરિકામાં H1 વિઝા પર હતા. એમના પત્ની તથા બે પુત્રો ત્યાં જ છે. રાજ શાહ ઇન્ડિયા આવ્યા છે. અહીં એમની વિઝાની ડેટ કેન્સલ થઇ છે. તેમને નવી ડેટ જૂન, 2026માં આપી છે. જેથી રાજે પોતાની કંપનીમાં જાણ કરી અને વર્ક ફ્રોમ હોમ માટે મંજૂરી માંગી. કંપનીએ તેમને કહ્યું કે અમે 6 મહિના સુધી તમને વર્ક ફ્રોમ હોમ ન આપી શકીએ. જો રાજને વર્ક ફ્રોમ હોમ ન મળે તો તેમનું H1 સ્ટેટસ તો જાય જ પરંતુ તેમના પત્નીને પણ ભારત પાછું આવવું પડે કેમ કે તેમનું સ્ટેટસ પણ જતું રહે. પરિવારનો એક દીકરો ભારતથી તેમની સાથે ગયો છે જ્યારે બીજા દીકરાનો જન્મ અમેરિકામાં જ થયો છે. જેથી સ્થિતિ એ થઇ છે કે નાનો છોકરો જ USAમાં રહી શકે છે બાકીના ત્રણને પાછું ભારત આવવું પડી શકે છે. કિસ્સો-2નિસર્ગ અને નિહારિકા (નામ બદલેલું છે) અમેરિકામાં આવેલી સારી કંપનીમાં કામ કરતાં હતા. બન્નેનો લગભગ 1 લાખ ડોલરનો પગાર હતો. તેમના લગ્ન જાન્યુઆરી મહિનામાં થવાના હતા. બન્નેનું H1 જાન્યુઆરી 2024માં જ પિક થઇ ગયું હતું. એમાં પાસપોર્ટમાં સ્ટેમ્પ ન હોય. 15 ડિસેમ્બરે બન્નેની બાયોમેટ્રિક માટે અને 22 ડિસેમ્બરે સ્ટેમ્પિંગ માટે ઇન્ટરવ્યૂની તારીખ હતી. લગ્નની તૈયારી માટે નિહારિકા 7 ડિસેમ્બરે જ ભારત આવી ગઇ હતી. નિસર્ગ 12મી ડિસેમ્બરે આવવાનો હતો. 9મી ડિસેમ્બરે બન્નેને એવો ઇમેલ આવ્યો કે તમારી વિઝાની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરવામાં આવી છે. તમને જૂન 2026ની ડેટ મળે છે. આના કારણે એવું થયું છે કે નિહારિકા હવે અમેરિકા પાછી નહીં જઇ શકે અને જો નિસર્ગ ભારત આવે તો તે પણ પાછો ન જઇ શકે. જેથી નિસર્ગે પોતાની ટિકિટ તો કેન્સલ કરાવવી જ પડી સાથોસાથ તેમના લગ્ન પણ કેન્સલ કરવા પડ્યા. જો નિહારિકાને તેની કંપની વર્ક ફ્રોમ હોમની મંજૂરી નહીં આપે તો તેનું H1 સ્ટેટસ જતું રહેશે. ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર કહે છે કે, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝામાં પહેલેથી સોશિયલ મીડિયા વેટિંગ છે. હવે H1માં પણ ફરજિયાત થઇ ગયું છે. H1 વિઝાની પ્રોસેસ સમજાવતા તેઓ કહે છે કે, USAમાં F1 સ્ટુડન્ટ વિઝા પર જાઓ. OPT કરો છો, એ પણ સ્ટુડન્ટ વિઝા જ કહેવાય. એ પછી H1માં સિલેક્શન થતાં કામ કરો છો. USAમાં 10-20 વર્ષ રહો છો. અમેરિકામાં ઇન્ડિયન એમ્બેસીમાં પાસપોર્ટ રિન્યૂ થઇ જાય. જે-તે દેશની અમેરિકન એમ્બેસીમાં જ એપોઇન્ટમેન્ટ લેવી પડે'USAની બહાર જઇને ફરી આવવું હોય તો તમારા પાસપોર્ટમાં વિઝાને અનુરૂપ સ્ટેમ્પ ફરજિયાત જોઇએ. એ માટે તમારે તમારા દેશની જ USA એમ્બેસીમાં એપોઇન્ટમેન્ટ લેવી પડે. ઉદાહરણ તરીકે કોઇ ભારતીય વ્યક્તિ જેની પાસે 2 કે 10 વર્ષથી H1 વિઝા છે. એનું ગ્રીન કાર્ડ નથી આવ્યું. તેને ઇન્ડિયા આવીને પાછા જવું હોય તો H1નો સ્ટેમ્પ એમના પાસપોર્ટમાં જોઇએ.' મોટાભાગના લોકો ડિસેમ્બરની રજા મળે ત્યારે પ્લાન કરે છે'ડિસેમ્બરમાં જનરલી USAમાં 2-4 વીકની રજા મળે ત્યારે બધા પ્લાન કરીને ઇન્ડિયા આવે છે. જેના વિઝા એક્સપાયર થાય એ લોકો વિઝાની એપોઇન્ટમેન્ટ ડેટ લે છે.' નવા નિયમના કારણે H1 વિઝાવાળા અંદાજે 70 હજાર ભારતીયોને અસર થઇ છે. એકસાથે એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ ગઇપાર્થેશ ઠક્કરે જણાવ્યું કે, આ વખતે 15 ડિસેમ્બરથી સોશિયલ મીડિયાનો નિયમ લાગુ થયો. USAમાં રહેતા હોય એટલે ઇન્ડિયા આવવા માટે મહિનાઓ પહેલા પ્લાન થતાં હોય. માર્ચમાં ડિસેમ્બરની ટિકિટ લઇ લેતા હોય છે અને વિઝાની એપોઇન્ટમેન્ટ પણ બૂક કરી દેતા હોય છે. એમ કહેવાય છે કે એવરેજ 70 હજાર જેટલા ઇન્ડિયન્સ H1 વિઝા પર હતા. તેમણે મુંબઇ, દિલ્હી, કોલકાતા એમ અલગ અલગ જગ્યાએ એપોઇન્ટમેન્ટ લીધી હતી. 'એ બધાની એપોઇન્ટમેન્ટ એકસાથે કેન્સલ થઇ ગઇ. બધાને USA એમ્બેસીએ ઇમેલ કર્યો છે કે અત્યારે અમારી પાસે સોશિયલ મીડિયા વેટિંગ કરવાનો સમય નથી. તમને નવી ડેટ આપીએ છીએ. ઘણા બધાને 4-6 મહિના પછીની ડેટ આવી છે.' અમેરિકા બહાર ન જવાની ચેતવણીઅમેરિકા બહાર ન જવાની ચેતવણી આપતા તેઓ કહે છે કે, અમેરિકાના ઘણા લોયર એવી સલાહ આપી રહ્યા છે કે જેમણે USAમાં એન્ટ્રી કરવા માટે વિઝા જરૂરી છે તેમણે હાલ પૂરતું USAની બહાર ટ્રાવેલ કરવાનું ટાળવું જોઇએ. અમે પણ કહીએ છીએ કે આવતા બે વર્ષ USAની બહાર ન જશો. કોઈપણ સરપ્રાઇઝ આવી શકે છે. ઇમિગ્રેશન એક્સપર્ટ ભાવિન ઠાકરે કહ્યું કે, કોઇપણ વ્યક્તિ વિઝા રિન્યૂ કે સ્ટેમ્પિંગ માટે આવતા હોય એમણે નવેમ્બર, ડિસેમ્બર કે જાન્યુઆરીની તારીખો લીધેલી હતી. એ કોન્સ્યૂલેટમાં જવાના હતા અને ઇન્ટરવ્યૂ આપીને સ્ટેમ્પિંગ કરાવવાના હતા. એના બદલે ઘણા બધા એપ્લિકન્ટને એવો મેલ આવ્યો છે કે અત્યારે અમારું સોશિયલ મીડિયા એસેસમેન્ટ ચાલે છે માટે અમે આ પ્રોસેસ માટે 6 મહિના લઇશું. તમને જૂન અથવા જુલાઇની તારીખ મળશે. આ દરમિયાન તમે અમેરિકા નહીં જઇ શકો. ઇન્ડિયામાં રહેવું પડશે. ભારતીયો પર સૌથી વધુ અસરનવા નિયમોના કારણે સૌથી વધુ અસર ભારતીયોને જ થશે તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે,જે ઇન્ડિયામાં છે એમના એમ્પ્લોયર એમને ઇન્ડિયામાંથી કામ કરવા માટે મંજૂરી નહીં આપે. બધા જ કામ એવા નથી હોતા કે જેમાં વર્ક ફ્રોમ હોમ કરી શકાય. એ સ્થિતિમાં એમ્પ્લોયર રાહ ન જુએ કે છ મહિના પછી કોઇ આવે તો એને સ્વીકારે. આ સ્થિતિ કદાચ H1 હોલ્ડરે ફેસ કરવાની આવશે. અલ્ટિમેટલી એ ઇન્ડિયા છોડીને ત્યાં જઇ નહીં શકે.બહારથી USAમાં જતાં લોકોમાં પહેલા નંબરે ઇન્ડિયા અને પછી ચીન આવે છે. જેથી આ સ્થિતિમાં સૌથી વધારે મુશ્કેલી ભારતીયોને જ થવાની છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
વિદેશી ચલણની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ:એરપોર્ટ પરથી 42 લાખના ડોલર, પાઉન્ડ સાથે મુસાફરની ધરપકડ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI), અમદાવાદ પર કસ્ટમ્સ વિભાગે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) અમદાવાદે ગુપ્ત માહિતીના આધારે વિદેશી ચલણની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ત્રણ દિવસમાં ત્રણ વિદેશી ચલણી નોટની દાણચોરીના કેસ કસ્ટમ વિભાગે કર્યા છે. કસ્ટમ્સ અધિકારીઓએ તા. 13 જાન્યુઆરી 2026એ અમદાવાદથી બેંગકોક જઈ રહેલી વિટજેટ એરની ફ્લાઈટ VZ-571માં પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. તેના સામાનની તપાસમાં છુપાવી રાખેલ વિદેશી ચલણ મળી આવ્યું હતું. કસ્ટમ્સ વિભાગ મુજબ, મુસાફરે આ વિદેશી ચલણની કોઈ જાહેરાત કસ્ટમ્સ અધિકારીઓ સમક્ષ કરી નહોતી. આ કાર્યવાહી કસ્ટમ્સ એક્ટ 1962 તથા FEMA, 1999 અને ફોરેન એકસ્ચેન્જ મેનેજમેન્ટ રેગ્યુલેશન, 2015ના નિયમોના ઉલ્લંઘન હેઠળ કરવામાં આવી છે. તેથી વિદેશી ચલણ કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. તપાસમાં કુલ 1,172 વિદેશી ચલણની નોટો મળી આવી
ભાસ્કર વિશેષ:વસતીની સાથે સિંહોના ‘સોશિયલ ગ્રુપ’ના કદમાં પણ વધારો થયો
એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી 2025ના અહેવાલે માત્ર સંખ્યા જ નહીં, પરંતુ તેમના બદલાતા સામાજિક વર્તન અને રહેઠાણ વિશે પણ વિગતો રજૂ કરી છે. સિંહો હવે ગીરના જંગલો છોડી નવા વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સંશોધન અહેવાલ ‘પરિવર્તનશીલ વલણો: ગુજરાતમાં વસ્તી વૃદ્ધિ, સામાજિક ગતિશીલતા અને એશિયાઈ સિંહોની સીમાનું વિસ્તરણ’ સ્પષ્ટ કરે છે કે જો સિંહને બચાવવો હશે, તો તેના વિસ્તરતા પ્રદેશો અને બદલાતી જરૂરિયાતો મુજબ વ્યવસ્થાપનને પણ બદલવું પડશે. આ અહેવાલ ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયો છે. વસતીમાં વૃદ્ધિ સાથે હવે એક માદા જૂથમાં 17 સુધીના સભ્યો જોવા મળે છે. 21 કોરિડોરનું સંરક્ષણસિંહોની જિનેટિક વિવિધતા જળવાઈ રહે તે માટે 21 જૈવિક કોરિડોર (માર્ગો)ની ઓળખ કરવામાં આવી છે. આ કોરિડોર સિંહોને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સુરક્ષિત રીતે આવવા-જવા માટે મદદરૂપ બને છે. સ્થાનિક સમુદાયોની ભાગીદારીથી આ માર્ગોમાં જમીન વપરાશનું નિયમન કરવું વસ્તી સ્થિરતા માટે જરૂરી છે. સિંહની નવી ‘સામાજિક ક્રાંતિ’: મોટાં જૂથ, બદલાતી ગતિશીલતાઆ સંશોધન મુજબ સિંહોની સામાજિક રચનામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નર સિંહો એકલા અથવા તો 2 થી 4 નરના ગઠબંધનમાં જોવા મળે છે. જેની સામે માદાઓના જૂથમાં હવે સરેરાશ 4 થી 17 સભ્યો જોવા મળી રહ્યા છે. ખોરાકની પ્રાપ્તિ અને સુરક્ષા માટે સિંહો વધુ સંયુક્ત સામાજિક માળખું અપનાવી રહ્યા છે. મૃત્યુદર અને વસ્તી સંતુલનનું ગણિત5 વર્ષમાં કુલ 536 સિંહોના મૃત્યુ નોંધાયા છે, જે વાર્ષિક સરેરાશ 107 સિંહો થાય છે. તેમ છતાં, સિંહોનો વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર 5.6% જેટલો ઊંચો રહ્યો છે. આ સાબિત કરે છે કે કુદરતી મૃત્યુની સામે સિંહોનો પ્રજનન દર અને બચ્ચાઓનો સર્વાઈવલ રેટ મજબૂત છે.
ઇન્ટરવ્યૂ:ફિલ્મ ‘બિચારો બેચલર’ને ઓવરસીઝ માર્કેટમાં એકસાથે રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે
ગુજરાતી ફિલ્મ બિચારો બેચલરના એક્ટર અને ડિરેક્ટરે સિટી ભાસ્કર સાથે ફિલ્મને મળેલા સારા પ્રતિસાદ બાદ ફિલ્મ અને ઈન્ડસ્ટ્રી વિશે રસપ્રદ વાત શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર ‘બિચારો બેચલર’ માત્ર મનોરંજક કોમેડી નહીં પરંતું, યંગસ્ટર્સ અને પરિવારો સામે ઊભા રહેલા સામાજિક પ્રશ્નોનો અરીસો છે. મોડા લગ્ન, કૅરિયરનું પ્રેશર, પેરેન્ટ્સની અપેક્ષા, સમાજની ટીકા, સ્વચ્છ અને ફેમિલી ફિલ્મના સ્વરૂપે રજૂ કરાયું છે. જો કે, મેકર્સ ઓવરસીઝ માર્કેટમાં એકસાથે રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મોને સ્ક્રીન મળવાની સમસ્યા ધીમે ઘીમે ઘટી રહી છેફિલ્મનો મૂળ વિચાર આજના સમયમાં મોડા લગ્નની વાસ્તવિકતાથી જન્મ્યો છે. વધુ ભણતર, કૅરિયર બનાવવા માટેની દોડ અને વિકલ્પોની ભરમારમાં ઘણા યુવાનો લગ્નની યોગ્ય ઉંમર પસાર કરી દે છે. ત્યારબાદ ફ્રસ્ટ્રેશન, પેરેન્ટ્સનું ભાવનાત્મક દબાણ અને સમાજની ટિપ્પણી એક સાથે સામે આવે છે. ‘બિચારો બેચલર’ સમાજને આ પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે, પરંતું ઉપદેશ આપ્યા વગર હસાવીને વાત કહી જાય છે. હવે ગુજરાતી ફિલ્મોને સ્ક્રીન મળવાની સમસ્યા પણ ધીમે ધીમે ઘટી રહી છે - વિપુલ શર્મા, ડિરેક્ટર ફિલ્મમાં સળગતા પ્રશ્નોને ફન ફોર્મેટમાં રજૂ કરવામાં આવ્યા છેઆજના સમયમાં જ્યારે ઓડિયન્સ એક્ટરના મોઢા પર સાચો પ્રતિસાદ આપે છે, ત્યારે આવા રિવ્યુઝ ફિલ્મની સફળતાનું સૌથી મોટું પ્રમાણપત્ર બને છે. ફિલ્મની સફળતા એ સાબિત કરે છે કે, ગુજરાતી સિનેમામાં હવે કોન્ટેન્ટનો દોર ચાલી રહ્યો છે. મજબૂત વાર્તા અને સચોટ રજૂઆત હોય તો ઓડિયન્સ થિયેટર સુધી પહોંચે છે. આ ફિલ્મમાં આ સળગતા પ્રશ્નોને હાસ્ય અને લાગણીસભર રીતે રજૂ કરાયા છે. - તુષાર સાધુ, એક્ટર
નેશનલ સ્ટાર્ટઅપ ડે:શહેરના ઇન્ક્યુબેશન સેન્ટરનો સ્ટાર્ટઅપ પાવર શો
નેશનલ સ્ટાર્ટઅપ ડે પર અમદાવાદ દેશના અગ્રણી શહેરોમાં સ્થાન પામે છે. યુનિવર્સિટી આધારિત ઇન્ક્યુબેશન મોડેલ, રાજ્ય સરકારની નીતિ અને ઉદ્યોગોના સહયોગથી શહેરમાં મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસ્યું છે. ગુજરાત યુનિવર્સિટી, એલજે યુનિવર્સિટી અને GTU જેવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા સેન્ટરોએ છેલ્લાં કેટલાક વર્ષોમાં 1,300થી વધુ સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, ફંડિંગ અને માર્કેટ એક્સેસ આપ્યું છે. મુખ્ય ઇન્ક્યુબેશન સેન્ટરોની સિદ્ધિઓ શહેરના સ્ટાર્ટઅપ જે સફળ બિઝનેસ બન્યા...
ચોરાયેલી ચીજ-વસ્તુ શોધીને પોલીસ જે તે વ્યક્તિને બોલાવીને તે પરત આપે છે. ગત વર્ષે તેરા તુઝકો અર્પણ અંતર્ગત શહેરના સાતેય ઝોનના પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમ યોજી લોકોને તેમનો મુદામાલ પરત અપાયો હતો. ચોરાયેલો સામાન પરત આપવામાં મોબાઇલ, દાગીના અને વાહનનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેમાંઝોન-1 (વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, ગુજ યુનિ, નારણપુરા, નવરંગપુરા, રિવરફ્રન્ટ વેસ્ટ અને વાડજ)માંથી ચોરાયેલ રૂ.20 લાખથી વધુના દાગીના, ઝોન-6 (ઇસનપુર, મણિનગર, વટવા, જીઆઇડીસી, દાણીલિમડા, કાગડાપીઠ, નારોલ)માંથી ચોરાયેલા 29 લાખથી વધુના દાગીના તેમજ ઝોન-4 (દરિયાપુર, શાહીબાગ, એરપોર્ટ, કૃષ્ણનગર, મેઘાણીનગર, નરોડા અને સરદારનગર)માંથી ચોરાયેલા સૌથી વધુ દાગીના લોકોને પરત કર્યા હતા. ઝોન-6માંથી એક વર્ષમાં રૂ.1.71 કરોડના 970 મોબાઇલ પરત કરાયા હતા. તેરા તુઝકો અર્પણ અંતર્ગત મહિનામાં દરેક ઝોનમાં કાર્યક્રમ યોજી લોકોને તેમનો સામાન પરત કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે. ઝોન-1માંથી રૂ.8.05 લાખના 14 વાહન રિકવર કરી પરત અપાયાં હતાં. શહેરના સાતેય ઝોનમાંથી પોલીસે છેલ્લા એક વર્ષમાં 4721 લોકોને તેમના મોબાઇલ, દાગીના, વાહન જેવો સામાન પરત કર્યો હતો. ગ્રામ્ય પોલીસ દ્વારા એક વર્ષમાં રૂ.21 કરોડનો સામાન લોકોને પરત કરવામાં આવ્યો હતોઅમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 1 વર્ષમાં તેરા તુઝકો અર્પણ અંતર્ગત 355 કાર્યક્રમ યોજી 21.10 કરોડની વસ્તુ પરત અપાઈ હતી. ગ્રામ્ય પોલીસે સામાન શોધી પરત આપવાની કામગીરી શહેર કરતાં વધુ સારી કરી હતી.
ભાસ્કર એક્સક્લુસિવ:હાઈબ્રિડ ઈ-વીટોલ ડ્રોન પાકની માપણી, વેધર મોનિટરિંગ સહિતના કાર્યો કરી શકશે
સરકારી પોલીટેકનિકમાં ઈસી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સ્વદેશી વિચાર આધારિત નાવિક હાઈબ્રિડ ઈ-વીટોલ ડ્રોન તૈયાર કર્યું છે. સ્ટાર્ટઅપ ફાઉન્ડર પવન વર્મા અને ઈસી ડિપાર્ટમેન્ટના અધ્યાપિકા ડો. મિશેલ પ્રજાપતિના માર્ગદર્શનમાં ઈસી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી પ્રદ્યુમ્ન પ્રજાપતિ, આર્યન રાજ્યગુરૂ, નરેન્દ્ર નેર્વેએ તૈયાર કરેલ આ ડ્રોનની મુખ્ય વિશેષતા એ છે કે તે ખૂબ જ ઉંચાઈના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની હિલચાલની ચકાસણી તો કરી શકે છે. તેની સાથે સાથે તે પાકની માપણી એન્વાયરમેન્ટ મોનિટરિંગ, વેધર મોનિટરિંગ પણ કરી શકે છે. હાલમાં સ્વદેશી વિચાર આધારિત નાવિક હાઈબ્રિડ ઈવીટોલ અંતર્ગત સ્ટાર્ટઅપ મેન્ટર સાથે મળીને ડિફેન્સ એપ્લિકેશન માટે ડ્રોનના વિકાસ માટે આગળ કાર્ય કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવુ છે કે,‘હર ઘર સ્વદેશીના પ્રકલ્પ અંતર્ગત હવે સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે તે વિચારને અને ડ્રોન ક્ષેત્રની મૂળ સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ઈવીટોલ તૈયાર કરાયું છે.’ પોલીટેકનિકના પ્રિન્સિપાલ ડો ભાસ્કર ઐયરે જણાવ્યું છે કે,‘ વિદ્યાર્થીઓઓએ વિકસાવેલ આ સ્વદેશી ઈ-વીટોલ ડ્રોન નવીનતા, આત્મનિર્ભર ભારતના સંશોધનાત્મક અભિગમનું જીવંત ઉદાહણ છે. આ ઈ-વીટોલ ડ્રોન પ્રોજેક્ટ ડિફેન્સ અને રાષ્ટ્રીય ક્ષેત્રના મહત્વના ઉપયોગોમાં વિદ્યાર્થીઓની ટેકનિકલ ક્ષમતાને પ્રસ્તુત કરે છે.’
કમિશનર ઓફ સ્કૂલ હાર્ડ કોપી નહીં સ્વીકારે:ડીઈઓને તમામ ફાઈલો ઈ-સરકારથી મોકલવા આદેશ
કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ રાજયભરના 30થી વધુ જિલ્લાઓઓના જિલ્લા શિક્ષણાધિકારીને ઈ-સરકારના અમલીકરણના ભાગરૂપે સ્કૂલોની મંજૂરી સહિતની તમામ પ્રકારની વહીવટી પ્રક્રિયાને લગતી ફાઈલ ઈ-સરકાર મારફતે ઓનલાઈન મોકલવાનો આદેશ અપાયો છે. આ આદેશના પગલે હવે કમિશ્નર ઓફ સ્કૂલ આજથી કોઈ પણ પ્રકારની ફાઈલ હાર્ડકોપી નહી સ્વીકારે. જો હાર્ડ કોપીમાં ડોક્યુમેન્ટસ મોકલાશે તો ડીઈઓ કચેરી સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ સિસ્ટમથી અસર શું પડશે? ડોક્યુમેન્ટસ જમા કરાવવા માટે રૂબરૂ નહી આવવું પડેકમિશનર ઓફ સ્કૂલના હેઠળ કાર્યરત ડીઈઓ કચેરીની કામગીરીમાં ગતિમાં ઝડપ આવે, વહીવટી પ્રક્રિયા પારદર્શક બને તે હેતુસર આ પરિપત્ર કરાયો છે. આ પરીપત્ર કરવા પાછળનો સીધો તર્ક એ છે કે લોકોનો સમય અને શક્તિમાં થતો વ્યય અટકશે.
હુમલો કરાયો:ફતેવાડીમાં પતંગ ચગાવવા અંગે ધાબા પર ગાળો બોલવાની ના પાડતા એક યુવક પર હુમલો કરાયો
શહેરમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે ફતેવાડીમાં પતંગ ચગાવતી વખતે અપશબ્દો બોલવાની ના પાડતા પાડોશી પિતા-પુત્રોએ ભેગા મળી એક યુવક પર છરી અને બેઝબોલના બેટથી હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે 3 વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફતેવાડીની અલશુકુન-1 સોસાયટીમાં રહેતો સલમાનખાન અસલમખાન સાંજે તેના મિત્ર સાથે ધાબા પર પતંગ ચગાવતો હતો. સામેના ધાબા પર ફૈઝાન ઉર્ફે પંડિત ગાળો બોલતો હતો. આજુબાજુમાં મહિલાઓ હોવાથી સલમાને તેને મર્યાદામાં બોલવા કહેતા, ઉશ્કેરાયેલા ફૈઝાન, પિતા યાસીન તથા ભાઈ ઝઘડો કર્યો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે, ત્રણેયે ભેગા મળી સલમાનને માથામાં લાકડીના ફટકા, પગમાં છરીના ઘા માર્યા અને બેઝબોલના દંડાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. ધાબા પર પતંગ ચગાવવા બાબતે બબાલ, ચાર શખ્સ હુમલો કરી કારમાં ફરાર થયામકરબાના કૃષ્ણધામ ઔડાના મકાનના ધાબા પર પતંગ ચગાવવાની નજીવી બાબતે 4 જણાએ એક યુવક પર જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મહેશ ઠાકોર (32) ઉત્તરાયણના દિવસે પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવતા હતા, ત્યારે સાંજે પાડોશી લાલુ ઠાકોર સાથે ચાર અજાણ્યા લોકોએ બોલાચાલી કરતા, મહેશે ચારેયને શાંત રહેવાનું કહેતા ચારેયે મહેશ સાથે ઝઘડો કર્યા બાદ મહેશ, તેના ભાઈ વિજયને લાકડીઓના ફટકા માર્યા જેથી બંને ઈજાગ્રસ્ત ભાઇઓ જમીને પટકાતા, 4 જણ કારમાં ફરાર થયા હતા. હાલ આનંદનગર પોલીસે તપાસ આદરી છે.

29 C