અમદાવાદમાં રહેતી 17 વર્ષની સગીરાની માતા પિતાએ સગાઈ કરાવી હતી. પરંતુ કોઈ કારણસર પિતાએ સગાઈ તોડી નાખવી હતી. જે બાદ સગીરા તેના મંગેતર સાથે ફોન પર વાત કરતી હતી જેને લઈને સગીરાના પિતા અને જીજાજીએ સગીરાને મારી હતી અને મંગેતર વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા જણાવ્યું હતું. સગીરાએ ફરિયાદ કરવાની ના પાડતા સગીરાના પિતા અને જીજાજીએ સગીરાને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. સગીરાએ પિતા અને જીજાજી વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મંગેતર સાથે વાત કરતી હતી ને મારઝૂડ કરીફતેવાડીમાં રહેતી 17 વર્ષની સગીરાની દિલ્હીમાં રહેતા યુવક સાથે સગાઈ કરાવી હતી. પરંતુ સગીરાના પિતાએ કોઈ કારણસર સગાઈ તોડી નાખી હતી. સગાઈ તોડ્યા બાદ 4 જાન્યુઆરીના રોજ સગીરા ઘરે હતી ત્યારે ફોન પર તેના મંગેતર સાથે વાત કરતી હતી, જેને લઇને પિતા અને જીજાજીએ સગીરા સાથે મારઝૂડ કરી હતી. ખોટી ફરિયાદ કરાવવા વેજલપુર લઈ ગયાસગીરાને મંગેતર વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાવવા વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. પરંતુ સગીરાએ ફરિયાદ આપવાની ના પાડી હતી જેથી પિતા અને જીજાજીએ સગીરાને માર માર્યો હતો. જેનાથી સગીરાની તબિયત ખરાબ થઈ જતા સારવાર કરાવવાનું કહીને સોલા સિવિલ લઈ ગયા હતા. અપમાનિત શબ્દો બોલીને સગીરાને ઘરમાંથી કાઢી મૂકીપરંતુ સારવાર કર્યા વગર જ સગીરના ફોઈના ઘરે લઈ જઈને ફરીથી બેલ્ટ વડે માર માર્યો હતો. આ ઘટના બાદ સગીરા ગુમશુમ બેસી રહેતી હતી. જેથી તેના પિતાએ તેને કહ્યું હતું કે તું કેમ ગુમસુમ છે તેમ કહીને ફરીથી ઝઘડો કરી અપમાનિત શબ્દો બોલીને સગીરાને ઘરમાંથી કાઢી મૂકી હતી. પિતા અને જીજાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીજેથી સગીરા તેના મિત્રોનો સંપર્ક કરીને મિત્રોના પરિવાર સાથે રહેતી હતી અંતે કંટાળીને સગીરાએ પિતા અને જીજાજી વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર દેશમાં 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત, આણંદમાં પ્રાંત કક્ષાના 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ડી.એન. હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 112 આણંદ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડો. મયુર પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે, ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં સહયોગ આપનારા જિલ્લાના મતદાતાઓ, લોકશાહી પ્રક્રિયાને વધુ સશક્ત બનાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બીએલઓ, બીએલઓ સુપરવાઇઝર તથા ઓપરેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લોકશાહીના આધારસ્તંભ સમાન વયોવૃદ્ધ મતદારો અને લોકશાહીના ઉજ્જવળ ભવિષ્યરૂપ યુવા મતદારોને પણ પ્રાંત અધિકારી ડો. મયુર પરમારના હસ્તે શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી વિશેષ સન્માનિત કરાયા હતા. પ્રાંત અધિકારી ડો. મયુર પરમારે રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે તમામ મતદારોને ચૂંટણી આવે ત્યારે કોઈપણ જાતના ડર કે નાત-જાતના ભેદભાવ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને જીવંત રાખવામાં પોતાની ભૂમિકા અદા કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે મદદનીશ મતદાન અધિકારી અને આણંદ ગ્રામ્ય મામલતદાર વી.કે. ગોહિલ, નાયબ મામલતદારો, ચૂંટણી સાથે સંકળાયેલા કર્મીઓ, યુવા મતદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા. 01 જાન્યુઆરીથી તા. 31 જાન્યુઆરી 2026 દરમિયાન “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026”ની ઉજવણી કરવા સૂચના આપવામાં આવી છે. આ અંતર્ગત ગીર સોમનાથ પોલીસે નેશનલ હાઇવે-51 પર વેરાવળથી ઉના સુધીના રખડતા પશુઓને રીફ્લેક્ટર બેલ્ટ પહેરાવવાનું અભિયાન હાથ ધર્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાત્રિના સમયે રખડતા પશુઓને કારણે થતા વાહન અકસ્માતો અટકાવવાનો છે. “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” થીમ હેઠળ યોજાઈ રહેલા આ કાર્યક્રમોના ભાગરૂપે, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ માનવીય અભિયાન શરૂ કરાયું છે. જેમાં નેશનલ હાઇવે-51 પર વેરાવળથી ઉના સુધી તેમજ ઉના અને પ્રભાસ પાટણ શહેર વિસ્તારમાં રખડતા પશુઓને રીફ્લેક્ટર બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા. જિલ્લામાં નેશનલ હાઇવે અને મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે પશુઓ અચાનક રસ્તા પર આવી જવાથી ગંભીર અકસ્માતો નોંધાયા છે. આવા અકસ્માતોમાં માનવજીવનની સાથે પશુઓને પણ નુકસાન થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ પોલીસે આ વ્યવહારુ અને અસરકારક ઉકેલ અપનાવ્યો છે. આ અભિયાન જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પો.સબ.ઇન્સ્પેક્ટર વી.એન. મોરવાડીયા, ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ, ઉના ટ્રાફિક પોલીસ, પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી અને પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૌ રક્ષકોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નેશનલ હાઇવે-51 પર વેરાવળથી ઉના સુધીના માર્ગ પર અને શહેરી વિસ્તારોમાં અંદાજે 200 જેટલા રખડતા પશુઓને રીફ્લેક્ટર બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા. આનાથી રાત્રિના સમયે વાહનચાલકોને પશુઓ દૂરથી જ દેખાશે અને અકસ્માતોની શક્યતા નોંધપાત્ર રીતે ઘટશે તેવી અપેક્ષા છે. ગીર સોમનાથ પોલીસની આ કામગીરી માત્ર કાયદાના અમલ પૂરતી સીમિત ન રહેતા, માનવજીવનની સુરક્ષા સાથે પશુ કલ્યાણને પણ મહત્વ આપતી માનવીય પહેલ તરીકે પ્રશંસા પામી રહી છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા પણ આ કામગીરીને આવકાર મળ્યો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026 અંતર્ગત આગામી દિવસોમાં પણ માર્ગ સલામતી અંગે જનજાગૃતિ, ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અને અકસ્માત નિવારણ માટેના વિવિધ કાર્યક્રમો યોજવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
ભરૂચમાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો:મતદાન જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની જવાબદારી પર ભાર
ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ જિલ્લા સ્તરીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને લોકશાહી પ્રત્યેની તેમની જવાબદારી યાદ અપાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મતદાનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિશેષ રૂપે, SIR અંતર્ગત મતદાર યાદી સુધારણા અને મતદાન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું. આ સન્માનનો હેતુ તેમની કામગીરીને પ્રોત્સાહન આપવાનો અને અન્યોને પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મતદાન અંગે શપથ લેવડાવવામાં આવ્યાં. આ શપથમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા, સ્વયં મતદાન કરવા અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ નાગરિકોમાં મતદાનનું મહત્વ સમજાવવા અને લોકશાહીને મજબૂત કરવાની જવાબદારીની યાદ અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયો.
પાટણ જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 25 જાન્યુઆરી, રવિવારના રોજ સિદ્ધપુર સ્થિત સરકારી નર્સિંગ કોલેજ ખાતે યોજાયો હતો. પાટણ જિલ્લા કલેક્ટર તુષારભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં લોકશાહીના પર્વને ઉજવવાની સાથે મતદારોમાં જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન 18-પાટણ વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદીની કામગીરીમાં પ્રશંસનીય યોગદાન આપનારા કર્મયોગીઓનું બહુમાન કરાયું હતું. જેમાં ચંદ્રુમાણા ગામના શિક્ષક રતિલાલ જીવાભાઈ પટેલને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 308-ચંદ્રુમાણા મતદાન મથકના BLO તરીકે કરેલી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખીને તેમને વિધાનસભા કક્ષાના શ્રેષ્ઠ BLO નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના બી.આર.જી.એફ. હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ લોકશાહી પ્રક્રિયામાં પ્રથમ વખત જોડાયેલા નવા યુવા મતદારોનું સન્માન કર્યું હતું. તેમને વિશેષ બેઝ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ યુવાધનને સંબોધતા જણાવ્યું હતું કે, મતદાન માત્ર એક અધિકાર નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેની પવિત્ર ફરજ છે. તેમણે લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને બી.એલ.ઓ. (BLO) ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કલેક્ટરના હસ્તે પ્રશસ્તિપત્રો એનાયત કરીને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ નિર્ભય બનીને, મર્યાદા અને નૈતિકતા સાથે મતદાન કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે ગોધરા પ્રાંત અધિકારી એન.બી. મોદીએ શાબ્દિક સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી, જ્યારે જિલ્લા સ્વીપ નોડલ અધિકારી કિરીટભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, એન.એસ.એસ. જિલ્લા કો-ઓર્ડિનેટર ડૉ. સંજય જોશી, લાયન્સ ક્લબના પ્રમુખ જે.પી. ત્રિવેદી, ચૂંટણી શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નવા નોંધાયેલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને બુટલેગરો વચ્ચેનો એક વિવાદિત વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયો મુજબ, એક બુટલેગરને ત્યાં ચાર જેટલા પોલીસકર્મીએ રેડ કરતા આ બુટલેગરે અન્ય જગ્યાએ મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોવાનું જણાવી ‘મને ધંધો કરવા દો નહીં તો બધું બંધ કરાવો' તેવું કહ્યું હતુ. બાદમાં પોલીસ અને તમામ લોકો અન્ય બુટલેગરને ત્યાં પહોંચ્યાં હતાં. અહીં ઝડપાયેલા બુટલેગરને દારૂના જથ્થા સાથે પોલીસે ભગાડી દીધા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતાં. આ સાથે જ પોલીસકર્મીઓને કોઈ નિયમ લાગુ પડતો ન હોય તેમ હેલ્મેટ વગર બાઈક લઈ ફરતા જોવા મળે છે. આ ઉપરાંત હાજર લોકો વીડિયો ઉતારતા પણ રોક્યાં હતાં. રેડ પડતાં જ બુલટેગરે પોલીસ સાથે બબાલ શરૂ કરીવાઈરલ વીડિયો મુજબ, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ વુડાના મકાનમાં બુટલેગર ગુરુ પ્રસાદ ઉર્ફે મુન્નો કનોજીયાને ત્યાં પોલીસ રેડ કરવા ગઈ હતી. આ સમયે બુટલેગર ગુરુ પ્રસાદ ઉર્ફે મુન્નો ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસને કહ્યું હતું કે, અહીં અમારા ધંધા બંધ કરાવવા આવ્યા છો, ચાલો તમને બતાવુ, 150-150 પેટીનો ધંધો કરે છે. બીજે મોટા ધંધા ચાલે છે અને રેડ પાડવા અહીં આવે છે. 100 નંબર પર ફોન લગાવો. આ સમયે એક પોલીસકર્મી કહે છે કે, વીડિયો બંધ કરો. બાદમાં બીજો કહે છે કે, લગાવો, હું ક્યાં ના પાડું છું. બુટલેગર પોલીસને લઈ બીજા બુટલેગરને ત્યાં પહોંચ્યોત્યારબાદ બુટલેગર ગુરુપ્રસાદ પોલીસકર્મીઓ અન્ય જગ્યાએ દારૂનું વેચાણ થતું હોવાનું કહીને પોલીસને તે જગ્યાએ જવા માટે કહે છે. બાદમાં પોલીસ અને ગુરુપ્રસાદ બાઈક લઈને બીજા બુટલેગર રોહિત કથીરિયાને ત્યાં જવા રવાના થાય છે. આ સમયે બુટલેગર ગુરુપ્રસાદ કહે છે કે, ધ્યાન રાખજો આ લોકો (પોલીસકર્મી) ફોન ના કરી દે. પોલીસની હાજરીમાં જ બુટલેગર એક્ટિવા લઈ ફરારપોલીસકર્મીઓ અને બુટલેગર બધા સાથે મળીને બુટલેગર રોહિત કથીરિયાના ત્યાં જાય છે. આ સમયે રોહિત કથીરિયા ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે, જેથી બુટલેગર ગુરુપ્રસાદ અને પોલીસકર્મી તેને રોકવાનો પ્રયાસ કરે છે. બુટલેગર ગુરુપ્રસાદ કહે છે કે, એક્ટિવાની ડીકી ખોલો. જોકે ડીકી ખોલે તે પહેલા જ પોલીસની હાજરીમાં જ રોહિત કથિરીયા ભાગી જાય છે. બુટલેગર ગુરુપ્રસાદ કહે છે કે, પોલીસની હાજરીમાં જ માલ લઈને ભાગી ગયો છે. પોલીસવાળાઓએ તેને જવા દીધો છે. ચાર પોલીસવાળા પણ તેને પકડી શક્યા નથી. મેં ગાડી પકડાવી, પરંતુ પોલીસે છોડાવી દીધી છે અને પોલીસ સામે જ એક્ટિવા લઈને ભાગી ગયો છે. પોલીસની પાછળ આવતા બુટલેગરને પોલીસે રોક્યો ત્યારબાદ પોલીસ બુટલેગર રોહિત કથિરીયાને પકડવા ભાગે છે. તેની પાછળ બુટલેગર ગૃરૂપ્રસાદ પણ વીડિયો ઉતારતો-ઉતારતો એમની પાછળ જાય છે. થોડા આગળ જતા પોલીસવાળા રોકાય છે એને કહે છે કે હમણાં એને પકડીને લાવીએ છીએ. આ સમયે બુટલેગર ગુરુપ્રસાદ કહે છે કે, મને ધંધો કરવા દો, નહીં તો બધું બંધ કરાવો. હાલમાં બુટલેગર દ્વારા ઉતારવામાં આવેલા વીડિયો વાઇરલ થયાં છે. તો બીજી તરફ લક્ષ્મીપુરા પોલીસની ટીમે આરોપી રોહિત કથિરીયાની લક્ષ્મીપુરા રોડ પરથી એક્ટિવા તથા વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કુલ 20,500 મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુરુપ્રસાદે પોલીસ સામે ખોટા આક્ષેપો કર્યાઃ PIઆ મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. ડી. ચૌધરીએ જણાવ્યું કે, ગુરુપ્રસાદ ઉર્ફે મુન્ના સામે પ્રોહિબિશન અને મારામારી સહિતના 29 ગુના નોંધાયેલા છે. તેણે કરેલા આક્ષેપો ખોટા છે. અમારી ટીમ તેને ત્યાં રેડ કરવા ગઈ હતી, આ સમયે પોલીસ સામે ખોટા આક્ષેપો કર્યા હતા. અમારી ટીમે બોટલેગર રોહિત કથિરીયાની ધરપકડ કરી છે અને તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકોને ટ્રાફિક સહિતના નિયમોનું પાલન કરાવવું પોલીસની ફરજ છે, પણ વીડિયો પોલીસકર્મીઓ પોતેજ હેલ્મેટ વગર જોવા મળ્યાં હતાં.
વડોદરાના જામ્બુવા સ્થિત આઇડીયલ સ્કૂલ ખાતે આગામી 27 અને 28 જાન્યુઆરી 2026 દરમિયાન મધ્ય ઝોન કક્ષાનું 'બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન' યોજાશે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), વડોદરા દ્વારા આયોજિત આ મેળામાં મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓ - વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ખેડા અને આણંદની શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ISRO ના નિવૃત વૈજ્ઞાનિક યોગદીપ દેસાઈ અને MS Uni. સાયન્સ ફેકલ્ટીના ડિન વિપુલ કલમકાર જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે. વિકસિત ભારત માટે STEM વિષયની થીમ આ વર્ષના પ્રદર્શનનો મુખ્ય વિષય ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM’ રાખવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ટકાઉ ખેતી, કચરા વ્યવસ્થાપન, હરિત ઊર્જા (Green Energy), અને નવીન ટેકનોલોજી જેવા વિષયો પર પોતાના સંશોધનો રજૂ કરશે. આ ઉપરાંત ગાણિતિક મોડેલીંગ, આરોગ્ય, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા મહત્વના પાસાઓ પર પણ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા મોડેલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. વિજ્ઞાન પ્રેમીઓ માટે ખુલ્લું આમંત્રણ વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે આવેલી આઇડીયલ સ્કૂલ ખાતે યોજાનારા આ પ્રદર્શનમાં જોડાવા માટે DIET ના પ્રાચાર્ય દ્વારા જાહેર જનતા અને વિજ્ઞાન પ્રેમીઓને હાર્દિક આમંત્રણ અપાયું છે. નવી પેઢીના વૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપવા માટે આ એક ઉત્તમ તક બની રહેશે.
ભાવનગરમાં મોતિયા ઓપરેશન કેમ્પ યોજાયો:50થી વધુ દર્દીઓએ વિનામૂલ્યે સારવારનો લાભ લીધો
ભાવનગરના ઘોઘા સર્કલ સંસ્કાર મંડળ (અખાડા) ખાતે 24 જાન્યુઆરી, 2026ના રોજ વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો. સવારે 10થી 12 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં 50થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ) અને ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી. સી. લોઢાવાળા હોસ્પિટલ, પ્રતાપરાય શામજી પારેખ પોલી ક્લિનિકના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો. ચી. સત્યમ વિનોદભાઈ સરવૈયાના લગ્ન પ્રસંગ નિમિત્તે આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પ્રમુખ શૈલેષ હરસોરાએ જણાવ્યું હતું કે, આવા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કેમ્પ દર મહિનાના ચોથા શનિવારે ઘોઘા સર્કલ (અખાડા)માં સવારે 10 થી 12 વાગ્યા સુધી યોજાય છે. આ કેમ્પમાં આંખના રોગો અને મોતિયા અંગેની તપાસ કરીને અદ્યતન ફેકો મશીન દ્વારા ટાંકા વગરના મોતિયાના ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવામાં આવી હતી. આ કેમ્પને લાયન પીડીજી વિનોદભાઈ સરવૈયા અને અન્ય મહેમાનોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક આગેવાન કેતનભાઈ વોરા (ટ્રસ્ટી, સાઈબાબા મંદિર, મેઘાણી સર્કલ) તથા અન્ય રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ શૈલેષ હરસોરા, મંત્રી પંકજ રાઠોડ, પંકજ શાહ, વિમલ સરવૈયા, કનૈયાલાલ ગુપ્તા, હેમંત અગ્રવાલ, કલ્પેશ ચૌહાણ, હિતેન્દ્ર ચોલેરા, મયંક ગોસાઈ અને સુરેશ પારેખ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે હરિભક્તો માટે ખાસ પ્રકારની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શાકોત્સવમાં ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી અને પૂજ્ય માનસરોવર બાપુ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં ભવ્ય ધર્મસભાનું પણ આયોજન કરાયું હતું. ધર્મસભામાં સંતો દ્વારા ધાર્મિક પ્રવચનો આપી ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાકોત્સવના આયોજનને કારણે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના સભ્યોએ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.
વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી કાર્યાલય દ્વારા એમ.એસ. યુનિવર્સિટીના મૃણાલિનીદેવી પુવાર ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને તેમના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ મતદારોમાં જાગૃતિ લાવી લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો છે. શ્રેષ્ઠ કામગીરીનું સન્માન અને પ્રતિજ્ઞા ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને અધિકારીઓએ નૈતિક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને ગર્વ સાથે તેમના મતદાર ઓળખપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડોદરાને મળ્યું ગૌરવવંતું સન્માન કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલે મતના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. એસ.આર. કૈલૈયાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે, ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલીયાને શ્રેષ્ઠ ચૂંટણી પ્રથા 2025નો એવોર્ડ એનાયત થયો છે. આ સફળતા બદલ તેમણે BLO, ERO અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં વી.કે. સંબાદ અને દક્ષેશ મકવાણા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવા મતદારો હાજર રહ્યા હતા.
પ્રજાસત્તાક દિવસ-2026ના અવસર પર ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓને માન આપતાં આ સન્માન જાહેર કરવામાં આવ્યું છે.આ યાદીમાં 2 અધિકારીઓને ‘વિશિષ્ટ સેવા પોલીસ મેડલ (PSM)’ જ્યારે 14 અધિકારી અને જવાનોને ‘પ્રશંસનીય સેવા પોલીસ મેડલ (MSM)’ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. આજે 25 જાન્યુઆરીના દેશના પોલીસ અધિકારીઓની સેવાને બિરદાવવા માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી નિપૂણા તોરવણે અને એસ. એસ. રઘુવંશીને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ 'વિશિષ્ટ સેવા પોલીસ મેડલ' (PPM) એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતના 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલઆ ઉપરાંત, આઈપીએસથી લઈને કોન્સ્ટેબલ સુધીના અન્ય 14 પોલીસ કર્મીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આ તમામ ગૌરવશાળી વિજેતાઓને આગામી 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે પ્રશંસનીય સેવા પોલીસ મેડલ માટે કોસ્ટલ સિક્યુરિટી, જેલ વિભાગ, સ્ટેટ મોનિટરિંગ સેલ, ઇન્ટેલિજન્સ, સુરત, અમદાવાદ અને રાજકોટ શહેર પોલીસ તેમજ રાજ્ય સશસ્ત્ર પોલીસ દળમાં ફરજ બજાવતા અધિકારી અને જવાનોની પસંદગી કરવામાં આવી છે. ડૉ. કે.એલ.એન. રાવે મેડલ મેળવનારને અભિનંદન પાઠવ્યારાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પ્રાપ્ત કરનાર તમામ અધિકારી અને જવાનોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આ સન્માન ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને જનસેવાની ભાવનાનું પ્રતિબિંબ છે.
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર નર્મદા જયંતિ ઉજવાઈ:હવન અને દૂધાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રવિવારે મા નર્મદાની જન્મજયંતિ નિમિત્તે હવન સહિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. દશાશ્વમેઘ ઘાટ પર આવેલા આ પૌરાણિક નર્મદા મંદિરનો વર્ષ 1926માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મહાસુદ સાતમથી મા નર્મદાની જન્મજયંતિ મહોત્સવ ઉજવવાની પરંપરા અવિરતપણે ચાલી આવી રહી છે. નર્મદા માતાના મહાત્મ્યનો ઉલ્લેખ અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યો છે, જેમાં માત્ર દર્શનથી જ ભવભવના પાપો દૂર થવાની માન્યતા દર્શાવવામાં આવી છે. નર્મદા જયંતિના અવસરે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હવન, અભિષેક અને આરતી દરમિયાન ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી. સમગ્ર ઘાટ પર ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો.
ભરૂચનો વોન્ટેડ આરોપી ઝડપાયો:બે વર્ષથી ફરાર મુકેશ ગોહિલને પેરોલ-ફર્લો ટીમે સુરતથી પકડ્યો
ભરૂચના ઝઘડીયા પોલીસ મથકના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી મુકેશ કરશનભાઈ ગોહિલને ભરૂચ પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. પેરોલ-ફર્લો જમ્પ કરનારા અને નાસતા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે ભરૂચ પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમે સક્રિય કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન, ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ વોન્ટેડ મુકેશ કરશનભાઈ ગોહિલ (રહે. સ્વેતરાજ સોસાયટી, ખોડીયારનગર, વરાછા રોડ, સુરત) છેલ્લા બે વર્ષથી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી મુકેશ ગોહિલ પોતાના નિવાસસ્થાને સુરત આવ્યો હોવાની બાતમી મળતા, પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને કાર્યવાહી કરી હતી. ટીમે આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની જરવલા-સુરજપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. નર્મદા વિભાગ દ્વારા ક્ષમતા કરતાં વધુ પાણી છોડવામાં આવતાં કેનાલ ઓવરફ્લો થઈ હતી. આ ઘટનાને કારણે હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોએ હાલમાં જીરું, વરિયાળી અને ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું હતું. બિયારણ, ખાતર અને મોંઘી દવાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પાક લણણીની તૈયારીમાં હતો. ખેતરોમાં પાણી ફરી વળતાં ઊભા પાકને મોટું નુકસાન થયું છે અને તે સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં આક્રોશ છે કે છેલ્લા 24 કલાકથી નર્મદા વિભાગને જાણ કરવા છતાં કેનાલનો પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો ન હતો. અધિકારીઓની કથિત લાપરવાહીને કારણે પાણી સતત નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યું હતું, જેનાથી નુકસાનમાં વધારો થયો. દર વર્ષે મેન્ટેનન્સના નામે થતા કરોડોના ખર્ચ સામે સવાલો ઉઠાવતા ખેડૂતોએ માંગ કરી છે કે, તાત્કાલિક કેનાલ બંધ કરવામાં આવે, નુકસાનનો સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અંદાજે 100થી વધુ વીઘાના ખેતરમાં પાણી ફરી વળ્યા હોવાનો અંદાજ છે. આ અંગે ખેડૂત આગેવાન પ્રકાશ પટેલે જણાવ્યું કે, એકબાજુ રણકાંઠાની કેનાલોના કામ ખુબ જ નબળા અને હલકી ગુણવત્તાવાળા થયા છે, જેના લીધે જયારે સીઝનમાં આ કેનાલોમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે છે, ત્યારે કેનાલોમાં ગાબડાં પડવાની સાથે ખેડૂતોને પારાવાર નુકશાની આવતા એમને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. જયારે આ અંગે સૂરજપુરા ગામના ખેડૂત સુભાષ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, કેનાલોમાં જામેલી લીલ અને શેવાળના કારણે અને તંત્ર દ્વારા કેનાલોની નિયમિત સફાઈ ન થવાના કારણે દર વર્ષે આ રીતે કેનાલોમાં ગાબડાં પડવાના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જાય છે. આ અંગે અનેકો રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. આ કેનાલમાં પાણી છોડાયા બાદ જામેલી લીલના થરના કારણે ગાબડું પડ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. આ અંગે નર્મદા વિભાગના અધિકારી પટેલભાઈએ જણાવ્યું હતું કે, કેનાલમાં ગાબડું પડ્યાના સમાચાર મળ્યા બાદ હાલ કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. કેનાલનું પાણી ઓસર્યા બાદ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે.
નવસારીમાં શહેરી વિકાસ સુશાસન પર્વ 2025-26 અંતર્ગત પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. લુન્સીકુઈ મેદાન ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. આ ફ્લાવર શોએ શરૂઆતની સાથે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી નવસારીનું નામ રોશન કર્યું છે. આ ફ્લાવર શોની મુખ્ય વિશેષતા 95,000થી વધુ ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી ‘નવસારી’ શબ્દની વિશાળ આકૃતિ છે. પ્રદર્શનમાં 8 ફૂટ બાય 49 ફૂટની ફૂલ દીવાલ, સરદાર પટેલની પ્રતિમા, ઈસરોનું સ્પેસ રોકેટ, સંસદ ભવન અને નવસારીનું ઐતિહાસિક ટાવર જેવી કલાત્મક આકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારત ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મનીના વિદેશી ફૂલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આયોજનથી લોકોમાં પર્યાવરણની જાગૃતિ વધશેઆ સર્જનને 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' દ્વારા માન્યતા આપવામાં આવી છે. નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નોંધાયેલી આ સિદ્ધિ બદલ મંત્રી સી.આર. પાટીલે વહીવટી તંત્ર અને નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નથી, પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આવા આયોજનોથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મકતા વધશે. 10 લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સઆ ફ્લાવર શોમાં 10 લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 25 જાતના ફ્લાવર ક્રોપ અને 40થી વધુ અલગ-અલગ રંગોની ફૂલ જાતોનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મનીના વિદેશી ફૂલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. નવસારીનું ઐતિહાસિક ટાવર ફૂલથી બનાવાયુંપ્રદર્શનમાં 8 ફૂટ બાય 49 ફૂટની ફૂલ દીવાલ, સરદાર પટેલની પ્રતિમા, ઈસરોનું સ્પેસ રોકેટ, સંસદ ભવન અને નવસારીનું ઐતિહાસિક ટાવર જેવી કલાત્મક આકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ પ્રદર્શન હરિત સંસ્કૃતિ અને સ્વચ્છ શહેરની કલ્પનાને પ્રોત્સાહન આપે છે. શહેરીજનોમાં વૃક્ષારોપણ અને ફૂલછોડ પ્રત્યે રુચિ વધે તેવો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પર્યટકોને આ પ્રદર્શન નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. 31મી સુધી આખો નિઃશુલ્ક ફ્લાવર શોકાર્યક્રમ અંગે માહિતી આપતા મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી જણાવ્યું હતું કે આજે નવસારી ખાતે કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા નવસારી ફ્લાવર શો 2026 ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જે જાહેર જનતા માટે 25મી તારીખથી 31મી તારીખ સુધી આખો નિઃશુલ્ક ફ્લાવર શો, જે સવારે 10 વાગ્યાથી લગાવીને સાંજે 10 વાગ્યા સુધી રહેશે. આ ફ્લાવર શોમાં 5 લાખથી વધારે ફૂલોનો વપરાશ થયો છે અને 20થી વધારે સ્કલ્પચર જે છે આમાં મૂકવામાં આવ્યા છે. સાથે સાથે નવસારી મહાનગરપાલિકાને આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ ફ્લાવર શોના લીધે સ્થાન મળ્યું છે. ફ્લાવર શોમાં 20થી વધારે સ્કલ્પચર20થી વધારે સ્કલ્પચર જે છે એમાં મૂક્યા છે અલગ અલગ ટાઈપના, અલગ અલગ આયુવર્ગ માટે, બધા માટે મૂકવામાં આવ્યા છે. 5 લાખથી વધારે ફ્લાવર પણ મૂકવામાં આવ્યા છે અને જે છે ગિનિસ બુકમાં પણ જે સ્થાન મેળવવામાં આવ્યું છે તો ખૂબ જ સારો ફ્લાવર શો અહીં આયોજિત થયો છે. નવસારી જે વર્ડ છે એ સૌથી મોટો બન્યો છે જેમાં લગભગ 95 હજારથી વધારે ફૂલોનો વપરાશ થયો છે અને આના કારણે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહ, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના જગતપુર વિસ્તારમાં ત્રણ મહિના ગાડીમાં ઘૂસીને પૂર્વ પ્રેમીએ યુવતી સામે જ તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત યુવકને ગળામાં 70 ટાંકા આવ્યા હતા. આ બનાવ બન્યાના 15 દિવસ બાદ ફરીથી યુવતીના પૂર્વ પ્રેમીએ યુવતીઓ પીછો કરીને અવારનવાર ફોન કરવાનું શરૂ કર્યું છે. યુવતીને ધમકી પણ આપી હતી કે વાતચીત નહીં કરે તો બદનામ કરી નાખીશ અને પતિને જાનથી મારી નાખીશ.ચાંદખેડા પોલીસે યુવક સામે વધુ એક ગુનો નોંધ્યો છે. અગાઉ પૂર્વ પ્રેમીકાના પતિને છરીના ઘા માર્યા હતાજગતપુરમાં રહેતી જાનવી પટેલ ફરિયાદ નોંધાવી છે કે તે ફ્લેટમાં એકલી રહે છે. આ ફ્લેટ તેને તેના મિત્ર સુભાષ પટેલે ખરીદીને આપ્યો હત જેના તેણે પૈસા પણ ચૂકવ્યા હતા. 31 ઓક્ટોબરના રોજ જાનવીના પૂર્વ પ્રેમી સુભાષે જાનવીના પતિને ગાડીમાં બેસીને ગળાના ભાગે છરીના આડેધડ ઘા માર્યા હતાં. જેના કારણે જાનવીના પતિ શરદની ગળા પર 70 ટાંકા આવ્યા હતા. આ બનાવના 15 દિવસ બાદથી જ સુભાષ વારંવાર જાનવીનો પીછો કરતો હતો જાનવીના ફોન પર ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો. બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીજાનવીના પતિને પણ ફોન કરીને જાનવી વિશે પૂછીને ગંદી ગાળો આપતો હતો. જાનવી અને શરદે ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. સુભાષે જાનવીને ધમકી પણ આપી હતી કે જો તે તેની સાથે વાત નહીં કરે તો તે જાનવીને બદનામ કરી નાખશે અને તેના પતિ શરદને પણ જાનથી મારી નાખશે. જેથી જાનવીએ આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા મહિલા સાથે એક યુવકે પરિચય કેળવીને મિત્રતા બાંધી હતી યુવકે મહિલા સાથે ઈમોશનલ વાતચીત કરીને ઉછીના પૈસા લીધા હતા જે પૈસા પરતના આપતા મહિલાએ યુવક વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઈમોશનલ વાતચીત કરીને થોડા પૈસા ઉછીના લીધા સેટેલાઈટમાં રહેતા ચાંદની ઠાકુર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ચાંદનીબેન તેમના દીકરીને શ્રેયસ ફાઉન્ડેશનમાં સ્વિમિંગ માટે લેવા મૂકવા જતા હતા ત્યારે તેમને ત્યાં કુનાલ શર્મા સાથે પરિચય થયો હતો.જે બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. કુણાલે ચાંદનીબેન સાથે ઈમોશનલ વાતચીત કરીને થોડા પૈસા ઉછીના લીધા હતા. અલગ અલગ વાત બનાવીને 65 હજાર લીઘાશરૂઆતમાં 10,000 લીધા બાદ કુનાલે ચાંદનીબેનને ધંધામાં નુકસાન અને દીકરાની બીમારીનું બહાનું કરીને બીજા 55 હજાર રૂપિયા લીધા હતા.આ પૈસા ત્રણ દિવસમાં પરત આપવાનું કહ્યું હતું પરંતુ પૈસા પરત ન આપીને કુનાલ અવારનવાર વાયદા કરતો હતો. ફરિયાદ નોંધાઈચાંદનીબેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજી થયા બાદ કૃનાલે અલગ અલગ રકમના ચેક આપ્યા હતાં. જે ચેક બેંકમાં ભરવા જતાં કુનાલનું બેંક ખાતુ જ બ્લોક હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ કૃણાલે ચાંદનીબેનને 11 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ બાકીના 55000 આપ્યો નહોતા જેથી ચાંદનીબેને કુણાલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 'રાષ્ટ્રીય મતદાતા દિવસ–2026' ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિશેષ શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા માટે શપથ ગ્રહણ કર્યા હતા. નિષ્પક્ષ મતાધિકારનો સંકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકો અને સ્ટાફે દેશની લોકતાંત્રિક પરંપરાઓને જાળવી રાખવા તેમજ કોઈપણ લોભ કે લાલચ વગર, સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે મતાધિકારનો ઉપયોગ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જાગૃતિનો સંદેશ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ મતદાનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, મજબૂત લોકશાહીના નિર્માણ માટે દરેક પાત્ર નાગરિકનું મતદાન અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે વધુમાં વધુ નાગરિકો લોકશાહી પર્વમાં સહભાગી બને તેવો સંદેશ પાઠવી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને પર્યટકોના માનીતા સ્થળ માઉન્ટ આબુમાં હાલમાં કડકડાટી ભરી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠું) બાદ પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડીને માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. જેના કારણે સમગ્ર હિલ સ્ટેશન ઠંડુગાર બની ગયું છે અને જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ઠેર-ઠેર જામ્યો બરફ: વાહનો સફેદ ચાદરમાં ઢંકાયા માઈનસ તાપમાનને કારણે માઉન્ટ આબુમાં આજે (25 જાન્યુઆરી) સવારે અદભૂત અને આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળ્યા હતા. શહેરના મેદાનો, બગીચાઓ અને હોટલના પ્રાંગણમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. ખાસ કરીને રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલી કાર અને અન્ય વાહનોની ઉપર બરફના થર જામી ગયા હતા. સવારે પર્યટકો અને સ્થાનિક લોકો વાહનો પરથી બરફ હટાવતા નજરે પડ્યા હતા. માવઠા બાદ ઠંડા પવનોનો કહેર રાજસ્થાનના અનેક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો છે. સમગ્ર રાજસ્થાનમાં હાલ શીતલહેર (Cold Wave) જેવો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ માઉન્ટ આબુમાં પારો માઈનસમાં જતાં અહીં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. પર્યટકો માટે બેવડી મોસમ: ક્યાંક ઠંડીનો આનંદ, ક્યાંક તાપણાનો સહારો કડકડતી ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુના આ કાશ્મીર જેવા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ નખી લેક અને સનસેટ પોઈન્ટ પર લાલ ગુલાબી ઠંડીમાં ફોટોગ્રાફી અને ભ્રમણનો આનંદ લેતા જોવા મળ્યા હતા. બીજી તરફ, સ્થાનિક રહીશો અને રાહદારીઓએ ઠંડીથી બચવા માટે ઠેર-ઠેર તાપણાનો સહારો લીધો હતો. ગરમ વસ્ત્રો અને ગરમાગરમ ચા-નાસ્તાની દુકાનો પર પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી. બનાસકાંઠા સહિત સરહદી વિસ્તારોમાં પણ અસર માઉન્ટ આબુમાં પડેલી આ રેકોર્ડબ્રેક ઠંડીની અસર પાડોશી જિલ્લા બનાસકાંઠા અને પાલનપુર પંથકમાં પણ જોવા મળી રહી છે. સરહદી વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી ગુજરાતના આ ભાગોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી થોડા દિવસો સુધી તાપમાન નીચું રહેવાની શક્યતા છે, તેથી પર્યટકોને પૂરતા ગરમ વસ્ત્રો સાથે જ આબુની મુલાકાત લેવા સલાહ આપવામાં આવી છે. બે દિવસ બાદ હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતાસમગ્ર ગુજરાતના હવામાનની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે, જેના કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ગઈકાલે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જો કે છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સાથે રાજ્યના ત્રણ જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પરહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર ભારતમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. જાન્યુઆરીમાં અંતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે.
ભાવનગર શહેરના એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાંથી ચાંદીના મુગટની ચોરી થવાની ઘટના સામે આવી છે. સવારના સમયે અજાણ્યો ઇસમ દેરાસરમાં પ્રવેશ કરી અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી અંદાજે 50 હજાર રૂપિયાનો ચાંદીનો મુગટ ચોરી ગયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ મામલે દેરાસરના ટ્રસ્ટીની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જૈન દેરાસરમાંથી ચાંદીના મુગટની ચોરી થવાની ઘટનાગંગાજળિયા પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, એમ.જી. રોડ પર વૃંદાવન હોટલ સામે આવેલા જૈન દેરાસરમાંથી ચાંદીના મુગટની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ બાબતે જૈન દેરાસરના ટ્રસ્ટી સંજયભાઈ શરદચંદ્ર ઠારે ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તારીખ 23 જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેઓ ટ્યુશન ક્લાસિસ ખાતે હાજર હતા. તે દરમિયાન દેરાસરના પુજારી દર્શનાએ ફોન કરીને જાણ કરી હતી કે, અજીતનાથ ભગવાનના દેરાસરમાં પુજા કરવા આવ્યા બાદ ભગવાનની મૂર્તિ પર પહેરાવેલો ચાંદીનો મુગટ નજરે પડતો નથી. અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી મુગટ ગાયબ હોવાનું જણાયુંદર્શનાથી દ્વારા જણાવ્યા મુજબ, સવારના સમયે પ્રથમ અજીતનાથ ભગવાનની પુજા કરવામાં આવી હતી, જેમાં ભગવાનની મૂર્તિ પર ચાંદીનો મુગટ પહેરાવેલો હતો. ત્યારબાદ ઉપરના માળે પાર્શ્વનાથ ભગવાનની પુજા કરી આશરે સાડા અગિયાર વાગ્યાના સમયે નીચે આવતા અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી મુગટ ગાયબ હોવાનું જણાયું હતું. CCTVમાં એક અજાણ્યો ઇસમ દેરાસરમાં પ્રવેશતો નજરે પડ્યોઘટનાની જાણ થતાં ટ્રસ્ટી સંજયભાઈ તાત્કાલિક એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરે પહોંચ્યા હતા અને દેરાસરમાં તપાસ કરતા ચાંદીનો મુગટ ક્યાંય મળ્યો નહોતો. ત્યારબાદ દેરાસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં સવારના 11થી 11:30 વાગ્યાના સમયગાળા દરમિયાન એક અજાણ્યો ઇસમ સફેદ રંગના કપડા તથા કાળી કોટી પહેરી દેરાસરમાં પ્રવેશ કરતો નજરે પડ્યો હતો. 50,000નો ચાંદીનો મુગટ ચોરી જનાર અજાણ્યા ઇસમ સામે ફરિયાદઆ ઇસમ અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી અંદાજે 500 ગ્રામ વજનનો અને અંદાજિત કિંમત રૂપિયા 50,000નો ચાંદીનો મુગટ ચોરીને પોતાની કોટીના ખિસ્સામાં નાખી દેરાસરમાંથી બહાર જતો હોવાનું ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે ફૂટેજ ના આધારે ગંગાજળિયા પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરાવતા ગંગાજળિયા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં આવેલા અને ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા આમ્રપાલી અન્ડરબ્રીજમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત છે. અહીં તાજેતરમાં રીપેરીંગનાં નામે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં સ્થિતિ જૈસે થે જેવી છે. એટલું જ નહીં કિસાનપરા ચોક ખાતેથી રૈયારોડ તરફ જવાના રસ્તે મસમોટા ખાડા અંગે પણ તંત્ર ઉદાસીન છે. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આજે દિવ્યભાસ્કરનાં માધ્યમથી વાહન ચાલકોએ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી. જો કે મનપાનાં ઇજનેરે પણ થોડી કામગીરી બાકી હોવાનું અને તે ઝડપથી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના આમ્રપાલી ફાટક પાસેથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. લોકોને ટ્રેનની રાહ જોવી ન પડે પાસે તે માટે વર્ષ 2019માં અહીં રૂપિયા 29 કરોડના ખર્ચે અન્ડરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી દ્વારા બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રીજનાં નિર્માણ બાદ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. પરંતુ બ્રીજમાંથી વાહન લઈને પસાર થવું સતત જોખમી રહે છે. વર્ષ 2021થી જ બ્રીજમાં વગર વરસાદે પાણી આવવાની સમસ્યા છે. આ પાણી ભરાતું અટકાવવા માટે તબક્કાવાર રીપેરીંગ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગત નવેમ્બર મહિનામાં કોંગ્રેસનાં વિરોધ બાદ મનપા દ્વારા સમારકામનાં નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આમ છતાં હજુ બ્રીજની અંદર વગર વરસાદે પાણી ભરેલા જોવા મળે છે. જેને લઈને હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી પસાર થતા વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે. એટલું જ નહીં બ્રીજની એકતરફ મોટા ખાડાઓ પડ્યા છે. છતાં તંત્ર દ્વારા આ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. અર્જુનસિંહ નામના નાગરિકે દિવ્યભાસ્કરને જણાવ્યું કે, મારી ઓફીસ નજીકમાં હોવાથી હું અહીંથી નિયમિત રીતે પસાર થાવ છું. અહીં પાણીની સમસ્યા કાયમી હોય છે. એટલું જ નહીં બ્રીજમાં ખાડાઓ પણ પડી ગયા છે. જેને લઈને મહિલાઓ અને બાળકોને લઈને નીકળવુ જોખમી બન્યું છે. અવારનવાર અહીં વાહન સ્લીપ થવાના બનાવો પણ બનતા હોય છે, જેને લઈને સ્વાભાવિક રીતે ડર લાગે છે. ચૂંટણીનો સમય હોય ત્યારે શાસકો ધ્યાન આપે છે. હાલ બ્રીજનું સુશોભન કરવામાં આવ્યું છે. પરંતુ રસ્તા બાબતે કોઈ કામગીરી થઈ નથી. અને પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત છે. ત્યારે આ મામલે તાત્કાલિક પગલાંઓ લેવાય તેવી મારી માંગ છે. અન્ય એક નાગરિક પ્રેમલભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારુ ઘર ઉપર જ હોવાથી હું અવારનવાર અહીંથી પસાર થતો રહુ છું. અગાઉ મનપા દ્વારા વગર વરસાદે પાણી ન ભરાય તેના માટે કામગીરી કરવામાં આવી હતી. આમ છતાં આજે પણ પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પાણી ભરાઈ જવાને લઈ ટુવહીલરમાં જતા લોકો ખાસ કરીને જ્યારે ફેમિલી સાથે હોય ત્યારે ડર લાગે છે. પાણીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ અનેકવાર બન્યા છે. ત્યારે તંત્રએ હજારો વાહનચાલકોની આ મુશ્કેલીને ગંભીરતા પૂર્વક લઈને તાત્કાલિક સમારકામ કરવું જોઈએ તેવી અમારી માંગ છે. મનપાનાં સિટી ઈજનેર અતુલ રાવલએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બ્રીજમાં જમીનમાંથી અને સાઈડમાંથી પાણી આવતું હતું. હાલ સાઈડમાંથી પાણી ન આવે તે માટે કામગીરી કરી લેવામાં આવી છે. જમીનમાં પાણીનું લેવલ નીચે આવ્યા બાદ ત્યાંથી આવતા પાણીને અટકાવવા પણ કામગીરી કરવામાં આવનાર છે. એટલું જ નહીં વાહન ચાલકોને મુશ્કેલી પડે નહીં તે માટે આ સમારકામ ટૂંક સમયમાં રાત્રીના સમયે કરવા માટેનું અયોનજન કરાયું છે. વાહન ચાલકો હેરાન ન થાય તે માટે તંત્ર દ્વારા આ કામગીરી શક્ય તેટલી વહેલી પુરી કરવાની ખાતરી પણ તેમણે આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલે મહાપાલિકાના 'સૂતેલા' તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રીજમાં સમારકામ પણ કરવામાં આવ્યું હતું. જેને લઈને થોડો સમય બ્રીજમાં પાણી ભરાતા બંધ થયા હતા. પરંતુ આ વાતને થોડા જ મહિના વીત્યા છે ત્યાં ફરીથી બ્રીજમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેને લઈ મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલા સમારકામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને આમ્રપાલી બ્રીજમાં પાણી ભરાવાની સમસ્યાથી ક્યારે કાયમી ધોરણે છુટકારો મળશે તે આવનારો સમય જ બતાવશે.
રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે, જેના કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ગઈકાલે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જો કે છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સાથે રાજ્યના ત્રણ જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પરહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર ભારતમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. જાન્યુઆરીમાં અંતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે.
વડોદરાના દાંડિયા બજાર સ્થિત સારા ગણદેવી ખર્ચ જ્વેલર્સ હોલ ખાતે ચિતપાવન બ્રાહ્મણ સંઘ અને મહિલા મંડળ દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે 25 જાન્યુઆરીએ ભવ્ય ‘હળદી-કુમકુમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિથી શરૂ કરી રથસપ્તમી સુધી ઉજવાતા આ ઉત્સવમાં મહિલાઓ એકબીજાના ઘરે જઈ હળદી-કુમકુમ, તીળ-ગુળ અને ભેટવસ્તુઓનું આદાન-પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન ચિતપાવન સૌભાગ્યવતી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાચીન પરંપરા અને સામાજિક એકતા આ પ્રસંગે સૌ. શશીદા પુરકરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં હળદી-કુમકુમનું વિશેષ મહત્વ છે. આ પરંપરા મહિલાઓને એકબીજા સાથે જોડે છે. આજના વ્યસ્ત યુગમાં જ્યારે મહિલાઓ નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત હોય છે, ત્યારે સંસ્થા દ્વારા કરવામાં આવતું આ સામૂહિક આયોજન ખૂબ જ પ્રશંસનીય છે. સંસ્થાનું 50મું વર્ષ અને ભવિષ્યના આયોજનો સંસ્થાના ઉપપ્રમુખ શ્રી દત્તાત્રેય દાંડેકરજીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, ચિતપાવન બ્રાહ્મણ સંઘ છેલ્લા 49 વર્ષથી વડોદરામાં સક્રિય છે. હાલમાં સંસ્થાનું 50 મુ વર્ષ ચાલી રહ્યું છે, જે અંતર્ગત આગામી સમયમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા આખું વર્ષ ધાર્મિક, બૌદ્ધિક અને સામાજિક ઉત્થાનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમણે સમાજના તમામ લોકોને આ સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીમાં સહભાગી થવા માટે ભાવભીનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
વિશ્વ વિખ્યાત બનેલા રાજકોટના સિલ્વર મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર હાલ મંદીનો ખુબ મોટો માર પાડ્યો છે. વૈશ્વિક જિયો પોલિટિકલ ઈશ્યુના કારણે બુકીયન માર્કેટમાં સતત ચાંદીના ભાવમાં થતા વધારાથી આજે રાજકોટના નાના-મોટા 1000થી વધુ કારખાના બંધ મૃતપાય હાલતમાં એટલે કે પાછલા વર્ષોમાં જે કામ કરતા એનું 5થી 10% જ કામ થઇ રહ્યું છે. રાજકોટના વેપારીઓને ગુજરાત બહાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાંથી ચાંદીના દાગીના બનાવવા કામ મળતું હતું જે પણ સાવ બંધ થઇ જતા રાજકોટની સામા કાંઠા વિસ્તારમાં આવેલ ચાંદી મેન્યુફેક્ચરિંગ યુનિટના હજારો કારીગરો બેરોજગાર બન્યા છે. બે-ત્રણ વર્ષનો વધારો એક જ દિવસમાં જોવા મળી રહ્યો છેસામાન્ય રીતે દર વર્ષે સોના ચાંદીના ભાવમાં 10થી 20% ભાવ વધારો જોવા મળતો હોય છે, પરંતુ હાલની સ્થિતિની વાત કરવામાં આવ તો ચાંદીના ભાવમાં જે વધારો બે ત્રણ વર્ષનો એકસાથે આવતો તે ભાવ વધારો એક દિવસની મૂવમેન્ટમાં જોવા મળી રહ્યો છે. એટલે કે ચાંદીના ભાવમાં માત્ર એક જ દિવસની અંદર 25થી 30 હજાર રૂપિયા સુધીની મુવમેન્ટ જોવા મળતી હોય છે. ગત 23 જાન્યુઆરીના રોજ 3.27 લાખથી લઇ અને હાઈએસ્ટ 3.40 લાખ સુધી ભાવ વધઘટ દિવસ દરમિયાન નોંધાયો હતો. છેલ્લા એક જ મહિનાની અંદર ચાંદીમાં 44% જેટલો વધારો નોંધાયો છે જે ખુબ જ વધુ છે. માટે હવે વેપારીઓ પણ ભાવમાં ઘટાડો આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ ભાવ વધારાથી ધંધામાં ખુબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કારીગરોને કામ ન મળતા કામ વગર બેસી રહેવાની સ્થિતિરાજકોટના સામા કાંઠા વિસ્તારમાં લગભગ 1000થી વધુ નાના મોટા કારખાના આવેલા છે. જેમાં બેથી અઢી લાખ જેટલા લોકો સીધા કે આડકતરી રીતે ચાંદીના દાગીના બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ ચાંદીના વધતા ભાવને કારણે રિટેલ અને હોલસેલ વેપારીઓ તરફથી માત્ર જરૂર પૂરતી જ ખરીદી થઈ રહી છે. છેલ્લા એક વર્ષથી ચાંદીના ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે પાછલા વર્ષ 2025માં નવરાત્રી બાદથી વેપારીઓ અને કારીગરોને કામ ન મળતા કામ વગર બેસી રહેવાની સ્થિતિ ઉદભવી છે. 'દરરોજ 2-3 હજાર ઘરેણાના નિર્માણ સામે હવે 200થી 300 કિગ્રા પણ નથી થતું'રાજકોટમાં સોના-ચાંદીનો વ્યવસાયએ આઝાદી પૂર્વેથી, એટલે કે 100થી વધુ વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. ખાસ કરીને વર્ષ 1990 બાદ આ ઉદ્યોગે નિકાસ ક્ષેત્રે પણ મોટી હરણફાળ ભરી છે. પરંપરાગત ઘરેણાં જેવા કે પાયલ, વિંછીયા અને કંદોરાની સાથે હવે અહીં ઇટાલિયન ટેકનોલોજી અને વેક્યુમ કાસ્ટિંગ પ્રોસેસથી આધુનિક આભૂષણો તૈયાર થાય છે. જેમાં દરરોજ સરેરાશ 2000થી 3000 કિલોગ્રામ ચાંદીમાંથી ઘરેણાંનું નિર્માણ થતું હતું, જે આજે 200થી 300 કિલોગ્રામમાં પણ નથી થઇ રહ્યું. દેશ-વિદેશના અનેક દેશોમાં રાજકોટની ચાંદીની ભારે માગરાજકોટની જ્વેલરી મધ્યપ્રદેશ, બીહાર, રાજસ્થાન, મુંબઈ, દિલ્હી અને દક્ષિણ ભારત સુધી પહોંચે છે. ભારત ઉપરાંત ગલ્ફ કન્ટ્રીઝ, આફ્રિકા અને મેક્સિકો જેવા દેશોમાં પણ રાજકોટની ચાંદીની ભારે માગ છે. બહેનો માટે પગમાં પહેરવાની પાયલ એ માત્ર રાજકોટમાં જ બને છે અને ગ્રાહકોમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. સિલ્વરનો માત્ર જ્વેલરીમાં જ નહીં ઔદ્યોગિક એકમમાં પણ ઉપયોગચાંદીમાં એકાએક આટલો તોતિંગ વધારો થવાનું કારણ જોઈએ તો ચાંદી એટલે કે સિલ્વરની ડિમાન્ડ ખુબ વધી છે. સિલ્વરની ડિમાન્ડ વધવા પાછળનું કારણ એ છે કે, સિલ્વર માત્ર જવેલરી નહિ પરંતુ દરેક ઔદ્યોગિક એકમમાં પણ ઉપયોગમાં આવે છે. જેમ કે સોલાર પેનલ હોય, સેમી કંડકટર ચિપ હોય, બેટરી હોય, હાલ આપણે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ તો તેમાં પણ સિલ્વરનો ઉપયોગ થાય છે. બેટરીમાં પણ સિલ્વરનો અંશ હોય છે એટલે આમ ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ સિલ્વરની ડિમાન્ડ વધી છે.
સુરત હંમેશા માનવતા અને સેવા માટે જાણીતું રહ્યું છે. તાજેતરમાં વેલંજા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય રીટાબેન હરેશભાઈ કોરાટના પરિવારે દુઃખની ઘડીમાં સાહસિક નિર્ણય લઈ પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. અંગદાનની આ પ્રક્રિયા દ્વારા રીટાબેન મૃત્યુ બાદ પણ અન્યોના શરીરમાં જીવંત રહી અમર બન્યા છે. અચાનક તબિયત બગડી અને સારવાર નિષ્ફળ રહી ઘટનાની વિગત મુજબ, 22/01/2026ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે રીટાબેનને અચાનક અસ્વસ્થતા જણાતા તેમણે દીકરા રાજને ફોન કર્યો હતો. ઘરે પહોંચતા જ તેમને ઉલટી અને ભારે નબળાઈ દેખાતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ન્યુરો સર્જન ડો. દીપેશ કક્કડ અને તેમની ટીમ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ અંતે તેમને 'બ્રેઇનડેડ' જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારનો હૃદયસ્પર્શી નિર્ણય અને અંગદાન રીટાબેનના નિધનના સમાચારથી કોરાટ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો, પરંતુ માનવતાના હિતમાં પતિ હરેશભાઈ અને પુત્ર રાજે કઠણ કાળજે અંગદાનનો નિર્ણય લીધો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહકારથી પરિવારને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પરિવારની સંમતિ બાદ SOTTO (State Organ and Tissue Transplant Organization) હેઠળ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. કયા અંગોનું દાન થયું? અમદાવાદની IKDRC હોસ્પિટલ દ્વારા રીટાબેનનું લિવર અને 2 કિડની સ્વીકારવામાં આવી હતી. આ ઉપરાંત, લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા તેમની 2 આંખોનું દાન લેવામાં આવ્યું હતું. આમ, રીટાબેનના કુલ 5 અંગોના દાનથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગીમાં ફરી પ્રકાશ પથરાયો છે. ટીમ વર્ક અને 29મું સફળ અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી આ 29મું સફળ અંગદાન સંપન્ન થયું છે. આ પ્રક્રિયામાં હોસ્પિટલના ચેરમેન સી. પી. વાનાણી, દિનેશભાઈ નાવડીયા અને જીવનદીપની ટીમના સભ્યોએ દિવસ-રાત મહેનત કરી હતી. સમાજ માટે આ કિસ્સો એક મિસાલ સમાન છે કે અંગદાન એ જ સાચી ઈશ્વર સેવા છે.
મોરબીમાં ફન સ્ટ્રીટનું આયોજન:બાળકોથી વૃદ્ધોએ શેરી રમતોનો આનંદ માણ્યો
મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા શેરી રમતોને પુનર્જીવિત કરવાના હેતુથી રવિવારે “ફન સ્ટ્રીટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના કેસર બાગ પાસે આવેલ એલ.ઇ. કોલેજ રોડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ભાગ લીધો હતો. આજના મોબાઈલ યુગમાં વિસરાતી જતી શેરી રમતો રમીને સહુકોઈએ ખૂબ આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર લાવીને મેદાનમાં લઈ જવાનો હતો. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને કારણે બાળકો શેરી રમતો ભૂલી ગયા છે, ત્યારે આ પ્રયાસ તેમને ફરીથી શારીરિક પ્રવૃત્તિઓ તરફ વાળવા માટે કરવામાં આવ્યો હતો. મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ પણ બાળકો સાથે બાળક બનીને વિવિધ શેરી રમતો રમવાનો આનંદ લીધો હતો. અગાઉના સમયમાં શેરીઓમાં રમાતી લખોટી, થપો, ટાયર ફેરવવા, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડા ફેરવવા, સાપસીડી અને દોરડા કૂદ જેવી રમતો હવે ભાગ્યે જ જોવા મળે છે. આ ભુલાઈ ગયેલી રમતોને ફરી જીવંત કરવા માટે ફન સ્ટ્રીટમાં આ તમામ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કમિશનર સ્વપ્નિલ ખરેએ લીંબુ-ચમચીની રમતમાં પણ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે ફન સ્ટ્રીટ હવે તેમની કાયમી ઇવેન્ટ રહેશે અને દર મહિનાના છેલ્લા રવિવારે મોરબીના કોઈપણ એક વિસ્તારમાં તેનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાપાલિકાના અધિકારીઓ અને રોટરી ક્લબના પ્રેસિડન્ટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરતના સંયુક્ત ઉપક્રમે સુરતના નાગરિકોમાં ચલણ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ચલણી નોટોની સુરક્ષા વિશે સમજણ આપવાનો અને સિક્કાઓના વપરાશ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો હતો. કોઈન મેળા દ્વારા સિક્કા વિતરણ આ શ્રેણીના પ્રથમ ચરણમાં “કોઈન મેળા – 2026” યોજાયો હતો. આ મેળા દ્વારા નાગરિકોને Rs. 10 અને Rs. 20 ના સિક્કા તેમજ વિવિધ ચલણી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બજારમાં સિક્કાઓના વપરાશને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વનું પગલું લેવાયું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન RBI ના AGM દિલીપ રાઠોડ, AM સુધીર ટીંગરે, વરાછા બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, ઉદ્યોગપતિ રાકેશભાઈ દુધાત અને જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાયું હતું. નકલી નોટ ઓળખવા અંગે માર્ગદર્શન નાગરિકો અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત સમજી શકે તે માટે “ચલણી નોટને જાણો” વિષય પર સેમિનાર યોજાયો હતો. RBI અમદાવાદના ISSUE ડિપાર્ટમેન્ટના DGM સુનિતા મીનાની પ્રેરક ઉપસ્થિતિમાં આ સત્ર સંપન્ન થયું હતું. બેંકના મહાનુભાવો દ્વારા અધિકારીઓનું પુષ્પગુચ્છ અને સ્મૃતિપુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે સુધીર ટીંગરેએ નોટોના સુરક્ષા ફીચર્સ અંગે વિગતવાર માહિતી આપી હતી. નાગરિકોનો બહોળો પ્રતિસાદ આ સમગ્ર જાગૃતિ અભિયાનમાં સુરતના આશરે 250 થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. સિક્કાઓના સરળ વિતરણ અને ચલણી નોટો વિશેના ટેકનિકલ માર્ગદર્શનને કારણે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમના સફળ આયોજનથી બેંકિંગ ક્ષેત્રે પારદર્શિતા અને જનજાગૃતિના પ્રયાસોને વેગ મળ્યો છે.
જામનગરમાં ખાનગી બસમાં આગ:હીરજી મિસ્ત્રી રોડ પર ઉભેલી બસ સંપૂર્ણ બળીને ખાખ
જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં રાત્રિના સમયે એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. સ્ટાર લાઈન નામની આ બસ એક સ્થળે ઉભી હતી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસમાંથી ધુમાડા અને આગની પ્રચંડ જ્વાળાઓ દેખાતા લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઇન્દિરા ફાયર સ્ટેશનની ગાડી વડે કૂલિંગ કરીને આગને સંપૂર્ણપણે બુઝાવી હતી. સદનસીબે, આ ઘટના રાત્રિના સમયે બની હતી અને બસ સ્થિર હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આગનો ભોગ બનેલી બસનો નંબર GJ 10 TV 8482 છે.
માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં ગ્રામજનોને કેનાલના પાણીમાં એક મૃતદેહ તરતો દેખાયો હતો. આ યુવાનની ઉંમર આશરે 35થી 40 વર્ષ હોવાનું અનુમાન છે. ગ્રામજનો દ્વારા મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ બનાવ અંગે મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા મૃતદેહની નોંધ કરી તેની ઓળખ મેળવવા માટે સઘન તજવીજ શરૂ કરી છે.
જ્યારે બોલિવૂડની 'મર્દાની' એટલે કે રાની મુખર્જી અને સુરતની અસલી 'મર્દાની'ઓ એકસાથે એક જ સ્ટેજ પર આવે, ત્યારે માહોલ ચોક્કસપણે પાવરફુલ બની જાય છે. નેટફ્લિક્સ પર લોકપ્રિય કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના તાજેતરના એપિસોડમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. સુરતની સુરક્ષા જેમના હાથમાં છે, તેવી 30 મહિલા પોલીસ અધિકારીઓ આ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. રીલ અને રિયલ લાઈફનો અદભૂત સંગમતાજેતરમાં 24 જાન્યુઆરીના રોજ સ્ટ્રીમ થયેલા આ ખાસ એપિસોડમાં રાની મુખર્જી પોતાની આગામી ફિલ્મ ‘મર્દાની 3’ના પ્રમોશન માટે પહોંચી હતી. આ તકે સુરત પોલીસની મહિલા અધિકારીઓએ ફિલ્મી પડદાની પોલીસ (રીલ) અને વાસ્તવિક જીવનની પોલીસ (રિયલ) વચ્ચેના અનુભવોની આપ-લે કરી હતી. કપિલ શર્માના હાસ્યના ફુવારાઓ વચ્ચે સુરતની મહિલા અધિકારીઓએ પોતાની ફરજ દરમિયાન આવતા પડકારો અને ગૌરવની ક્ષણો વિશે વાત કરી હતી. ACP મીની જોસેફે વર્ણવી 'પાંચ મર્દાની'ની કહાનીશો દરમિયાન સુરતના મહિલા ACP મીની જોસેફે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. તેમણે સુરત પોલીસમાં કાર્યરત એવી પાંચ મહિલા પોલીસકર્મીની શૌર્યગાથા રજૂ કરી હતી, જેમણે અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો હોય અથવા સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હોય. આ 'પાંચ મર્દાની'ની કહાની સાંભળીને ખુદ રાની મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતા. મહિલાકર્મીઓનું ફરજ, પરિવાર સાથે સામાજીક કાર્યમાં પણ યોગદાનઆ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની સંધ્યા ગેહલોત પણ ખાસ હાજર રહ્યા હતા. તેમણે પોલીસ પરિવારોનો સંઘર્ષ અને પોલીસની રાત-દિવસની સખત કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે મહિલા અધિકારીઓ ઘર અને ફરજ વચ્ચે સંતુલન જાળવીને શહેરની સુરક્ષામાં મહત્વનું યોગદાન આપી રહી છે. આ સાથે પોલીસ સામાજિક કાર્યો પણ કરી રહી છે, તે અંગે પણ જણાવ્યું હતું. કપિલે ACPને પતિના ચલણને લઈ સવાલ કર્યો કપિલ શર્માએ સુરતના મહિલા પોલીસ એસીપી મિની જોસેફને પૂછ્યું હતું કે, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું એક વાત પૂછવા માંગુ છું કે માની લો કે તમે શહેરમાં કોઈ ચાર રસ્તા પર ઉભા છો અને સામેથી એક ભાઈ મોટરસાયકલ પર આવી રહ્યા છે, જેમણે હેલ્મેટ પહેર્યું નથી. પણ જેવો તે નજીક આવે અને તે તમારા પતિ નીકળ્યા! શું તે દિવસે ચલણ કપાશે કે નહીં? કપિલના આ સવાલ પર એસીપી મિની જોસેફે હસતા-હસતા જણાવ્યું હતું કે, આ બાબતે હું એટલું જ કહીશ કે અત્યાર સુધી એવો કોઈ બંદો બન્યો નથી, જે મારી સામે આ રીતે આવી શકે! ત્યારે રાની મુખર્જીએ કહ્યું હતું કે, વાહ! આ તો એકદમ 'મર્દાની' અંદાજ છે! સુરત પોલીસની પાંચ મર્દાનીની કહાની...એસીપી મિની જોસેફે વધુમાં જણાવ્યું હતું કે, મેમ, તમે સવાલ પૂછ્યો છે તો હું મારા સ્ટાફની કેટલીક બીજી 'મર્દાનીઓ' સાથે પણ તમને મળાવવા માંગીશ, જેમાં પહેલા મર્દાની છે….સુમિત્રા (PCR-1): એક રાત્રે કોલ આવ્યો કે અઢી વર્ષની બાળકીને કોઈ ડમ્પરવાળો ઉઠાવી ગયો છે. તેમણે તરત પેટ્રોલિંગ શરૂ કર્યું અને ડમ્પર શોધી કાઢ્યું. જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે આરોપી બાળકીને મારવાની તૈયારીમાં જ હતો, પણ તેમણે સમયસર બાળકીને રેસ્ક્યૂ કરી લીધી. બીજા મર્દાની છે સારિકા: તેમણે અત્યાર સુધીમાં એવી 77 છોકરીઓને શોધી કાઢી છે જેઓ નાસમજીમાં કોઈની પણ સાથે ઘર છોડીને ભાગી ગઈ હોય. ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમણે આ પ્રશંસનીય કામ કર્યું છે. ત્રીજા મર્દાની દિવ્યાજી (PSI): તેમણે થોડા સમય પહેલા જ એક દિવસની બાળકીને રેસ્ક્યુ કરી હતી. અમારા પોલીસ કમિશનર ગેહલોત અને તેમના પત્નીએ તે બાળકીનું નામ 'હસ્તી' રાખ્યું છે. ચોથા મર્દાની હસીના: તેમણે લગભગ 200 જેટલા આરોપીઓને પકડવામાં અને ગુના ડિટેક્ટ કરવામાં મદદ કરી છે.પાંચમાં મર્દાની મીર (PSI): તેમણે સાયબર ક્રાઈમમાં 2000 કરોડનું મોટું ફ્રોડ પકડી પાડ્યું છે. એસીપી મિની જોસેફે જણાવ્યું હતું કે, આ બધા વતી હું તમારી રાની મુખર્જીનો આભાર માનું છું કે તમે અમને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો. મારી નમ્ર વિનંતી છે કે પોલીસને નકારાત્મક રીતે ન જુઓઃ સંધ્યા ગેહલોતસંધ્યા ગેહલોત (પોલીસ કમિશનરના પત્ની)એ જણાવ્યું હતું કે, હું જણાવવા માંગુ છું કે સુરત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ સામાજિક કાર્યો પણ કરે છે. અમે દર વર્ષે થેલેસેમિયા પીડિત બાળકો માટે 1,000 યુનિટ રક્ત એકત્રિત કરીએ છીએ. આ ઉપરાંત ગરીબ બાળકો માટે સ્કૂલ અને ડે-ચાઈલ્ડ કેર સેન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મારી નમ્ર વિનંતી છે કે, પોલીસને નકારાત્મક રીતે ન જુઓ, તેઓ ખૂબ જ સકારાત્મક કાર્ય કરી રહ્યા છે.
વાંકાનેરમાં ટ્રકની ટક્કરે યુવાનનું મોત:માટેલ રોડ પર બાઇકને અડફેટે લેતા અકસ્માત, પોલીસે તપાસ શરૂ કરી
વાંકાનેરના માટેલ રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. ઢુવા માટેલ રોડ પર આવેલા અમરધામ મંદિર સામેથી પસાર થઈ રહેલા બાઇકને ટ્રક ચાલકે અડફેટે લેતા આ દુર્ઘટના બની હતી. આ બનાવ અંગે મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શ્રવણ વિજવાડીયા (ઉં.વ. ૨૦) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેમના પિતા મનીષભાઈ વિજવાડીયા પોતાનું બાઈક (નંબર GJ 3 DL 2952) લઈને માટેલ રોડ પર અમરધામ મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ટ્રક નંબર GJ 3 BW 8828 ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મનીષભાઈના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મનીષભાઈને માથા, મોઢા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. મૃતક યુવાનના દીકરા શ્રવણભાઈની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.
જૂનાગઢ જિલ્લાના બીલખા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. બીલખાના મસ્જિદ નજીક રહેતા સોયેબભાઈ ભાદરકાના 6 વર્ષના માસૂમ બાળક પર રખડતા કૂતરાઓના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. જેના પગલે બાળક લોહીલુહાણ થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં શરીરના અનેક ભાગોએ ટાંકા આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. 5 થી 6 કૂતરાઓએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યોબનાવની વિગતો મુજબ, બાળક જ્યારે રમી રહ્યો હતો ત્યારે અચાનક 5થી 6 હિંસક કૂતરાઓએ તેને ઘેરી લીધો હતો. આ કૂતરાઓએ માસૂમ બાળકને જમીન પર પાડી દઈ શરીરના અનેક ભાગો પર બચકાં ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની ચીસાચીસ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને મહામુસીબતે કૂતરાઓના મોઢામાંથી બાળકને છોડાવ્યો હતો. જો ગ્રામજનો સમયસર ન પહોંચ્યા હોત તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. કુતરા કરડવાને પગલે અનેક જગ્યાએ ટાંકા આવ્યાકૂતરાઓના હુમલાને કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને કુતરા કરડવાને પગલે અનેક જગ્યાએ ટાંકા આવ્યા છે. હાલ બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. કૂતરા કરડવાના અનેક બનાવો છતાં તંત્ર મૌન હોવાનો આક્ષેપઆ ઘટનાએ બીલખા ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની પોલ ખોલી નાખી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, અગાઉ પણ કૂતરા કરડવાના અનેક બનાવો બન્યા છે, છતાં તંત્ર મૌન બની બેઠું છે. સ્ટ્રીટ ડોગ કંટ્રોલ માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર માત્ર કાગળ પર યોજનાઓ બતાવી સંતોષ માની રહ્યું છે, જ્યારે વાસ્તવમાં લોકોની સુરક્ષા જોખમમાં છે.
જામનગરમાં સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી:પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિશેષ શણગાર કરાયો
જામનગર શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ સરકારી ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શહેરભરમાં પર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શણગારના ભાગરૂપે, જામનગરના શરુ સેક્શન રોડ પર આવેલી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા સેવા સદનને ખાસ રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે. આખું સંકુલ રોશનીથી પ્રકાશિત થઈ ઉઠ્યું છે. તેવી જ રીતે, જામનગર જિલ્લા પંચાયત ભવન અને લાલબંગલા સ્થિત વીજતંત્રની કચેરી સહિતની અનેક સરકારી ઇમારતોને પણ રોશનીથી સજાવવામાં આવી છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિશેષ રૂપે કરવામાં આવી રહી છે.
બનાસકાંઠાના અમીરગઢ નજીક ઈકબાલગઢ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં રાજસ્થાનના સાત લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના આઈસર ટ્રક અને ઈનોવા કાર વચ્ચેની ટક્કરને કારણે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રોંગ સાઈડ જઈ રહેલી એક આઈસર ટ્રક ડિવાઈડર કૂદીને સામેથી આવતી ઈનોવા કાર પર પડી હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ છ લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો હતો. મૃતકોમાં સુમેરપુર નજીકના છાવણી વિસ્તારના મહંમદ હુસૈનનો પરિવાર પણ સામેલ છે, જેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરત ફરી રહ્યા હતા. ઈનોવા ગાડી (RJ22TA3107)માં અલગ-અલગ સ્થળોના લોકો સવાર હતા. તમામ મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા. આ ગંભીર અકસ્માતના પગલે પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર લગભગ પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને ત્રણ કલાકની જહેમત બાદ ખુલ્લો કરાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાના એસપી પ્રસાદ સુંબે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક પોલીસ તપાસમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગને કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોની ઓળખ 1. મહંમદ હુસૈન હનીફભાઈ (ઉંમર 50, છાવણી ગામ, શિવગંજ) 2. સબીનાબાનું મહંમદ હુસૈન (છાવણી ગામ, શિવગંજ) 3. મહેન્દ્રભાઈ શંકરલાલ રાવલ (વાટેરા ગામ, પિંડવાડા) 4. તુલસીભાઈ દલારામ રબારી (આબુ રોડ) 5. ચેતનકુમાર ચીમનલાલ પ્રજાપતિ (આબુ રોડ) 6. રહીંગ રામ મોહનલાલ (ગામ પાલી) 7. પ્રકાશ દામાજી કલાવત (ગામ પાલી, ડ્રાઈવર) આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં ઝીંનત મોહમ્મદ હુસેન કુરેશી (ઉંમર 35, છાવણી ગામ, શિવગંજ), મહંમદ સહદ (છાવણી ગામ, શિવગંજ) અને દીપકસિંહ (અચલગઢ, આબુરોડ)નો સમાવેશ થાય છે.
સુરમ્ય ગોલ્ડમાં ગાયત્રી પરિવાર દ્વારા સરસ્વતી પૂજન:ભાગવત મંદિર પાસે ગાયત્રી હવનનું આયોજન કરાયું
સુરમ્ય ગોલ્ડમાં ભાગવત મંદિર પાસે ગાયત્રી પરિવાર દ્વારા વસંત પંચમી પર્વ નિમિત્તે ગાયત્રી હવન અને સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન દિવસે ભક્તિભાવપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ હવનનું આયોજન ગાયત્રી પરિવારના દક્ષાબેન પટેલ અને સુરમ્ય ગોલ્ડની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરમ્ય ગોલ્ડના ચેરમેન ગણેશ પટેલ, સેક્રેટરી મનન પટેલ, ખજાનચી ખુમાનસિંહ દેવસિંહવાળા સહિત સોસાયટીના તમામ પરિવારજનો હાજર રહ્યા હતા. ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયત્રી હવન અને સરસ્વતી પૂજન ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયું હતું. આ દિવ્ય કાર્યક્રમથી આજુબાજુનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
દેશભરની MBA કોલેજોમાં પ્રવેશ માટે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટની પરીક્ષા યોજવામાં આવી છે. આજે રાજ્યભરમાં 15 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યના 14 શહેરોમાં આવેલા કુલ 48 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 400 ગુણના 100 પ્રશ્નો માટે ત્રણ કલાકનો સમયઅમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી સેન્ટર ખાતે પણ વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પહોંચી ગયા હતા. જ્યાં વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તેમણે સેન્ટર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. CMATની પરીક્ષા કોમ્પ્યુટર આધારિત યોજાઈ છે, જેમાં વિદ્યાર્થીઓને 400 ગુણના 100 પ્રશ્નો માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ 20 હજાર વિદ્યાર્થીઓનો ઘટાડોરાજ્યભરમાં CMATની પરીક્ષા માટે 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે દેશભરમાં કુલ 53 હજાર જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે CMAT માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગયા વર્ષની તુલનામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે દેશભરમાં આશરે 74 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો ઘટીને 53 હજાર થયો છે, એટલે કે લગભગ 20 હજાર વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. જેમાં ગુજરાતમાં 2800 જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે 27 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને 25 હજારથી વધુ વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપી રહી છે. સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલો પ્રવેશ આપવામાં આવ્યોપરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષા દરમિયાન પર દરેક રૂમનું CCTV દ્વારા મોનીટરીંગ અને રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા સેન્ટર લઈ વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલો પ્રવેશ આપવામાં આવ્યો હતો. ટેકનિકલ સ્ટાફ તથા સુપરવાઈઝરોની ટીમ તહેનાતદરેક કેન્દ્ર પર ટેકનિકલ સ્ટાફ તથા સુપરવાઈઝરોની ટીમ તહેનાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પરીક્ષા માટે 5-5 કલાકની તૈયારી કરી આશા કે છે આજની પરીક્ષા રીતે પૂર્ણ થાય. અત્યારે તો પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ છે. CMATના પરિણામો બાદ રાજ્ય અને દેશભરની વિવિધ મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
વિજાપુર તાલુકાના ફુદેડા ગામના એક રિક્ષાચાલકે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી છે. ગત ઓક્ટોબર મહિનામાં સર્જાયેલા આ અકસ્માતમાં સામેવાળા રિક્ષાચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા મુસાફર અને ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી. વિમાના કામકાજ અર્થે મોડેથી ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સામેથી પૂરપાટ આવતા રિક્ષાચાલકે ટક્કર મારીઘટનાની વિગતો મુજબ, વિજાપુરના ફુદેડા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ ગત 9 ઓક્ટોબર, 2025ના રોજ પોતાની રિક્ષા નંબર GJ-02-AU-3024 લઈને વિજાપુરથી પેસેન્જર ભરીને મહેસાણા પાલાવાસણા ચોકડી તરફ આવી રહ્યા હતા. સાંજના આશરે છએક વાગ્યે તેઓ રામપુરા ચોકડીથી પાલાવાસણા તરફ જઈ રહ્યા હતા, ત્યારે શોભાસણ બ્રિજ ઉતરતી વખતે સામેથી પtરઝડપે આવતી અન્ય એક રિક્ષાના ચાલકે નંબર GJ-02-AU-6460 અરવિંદભાઈની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ રિક્ષાચાલક ફરારઆ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરને જમણા પગના સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે ચાલક અરવિંદભાઈને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી સામેવાળો રિક્ષાચાલક પોતાની રિક્ષા લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને 108 મારફતે મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પેસેન્જરની હાલત વધુ ગંભીર હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા હતા. રિક્ષાચાલકે 3 મહિના બાદ ફરિયાદ નોંધાવીશરૂઆતમાં પેસેન્જરે ફરિયાદ કરવાની ના પાડી હતી અને રિક્ષાનો વીમો ચાલુ હોવાથી રિપેરિંગ થઈ ગયું હોવાથી અરવિંદભાઈએ પણ તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. જોકે હવે મેડિકલ ક્લેમ અને અન્ય કાયદાકીય પ્રક્રિયા માટે સબંધીઓની સલાહ બાદ અરવિંદભાઈએ અકસ્માત સર્જનાર રિક્ષાચાલક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જેને સૌરાષ્ટ્રનું સૌથી મોટું સારવાર કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાં જ દર્દીઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બિસ્માર રોડ અને જોખમી ખાડાઓને કારણે ગઈકાલે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જેમાં વ્હીલચેર પર જઈ રહેલા એક વૃદ્ધ દર્દી રોડ પરના ખાડામાં વ્હીલચેર ફસાવાને લઈ રસ્તા પર પટકાયા હતા. આ દ્રશ્યો જોઈને આસપાસ હાજર લોકો દોડી આવ્યા હતા. અને મહામહેનતે વૃદ્ધને ફરી વહીલચેરમાં બેસાડયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કેમપ્સનાં રસ્તાઓ પ્રત્યે તંત્રની લાપરવાહીને લઈ લોકોએ ફિટકાર વર્ષાવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગઈકાલે સિવિલમાં એક વૃદ્ધ દર્દીને હોસ્પિટલના એક વિભાગમાંથી બીજા વિભાગમાં વ્હીલચેર દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રોડ વચ્ચે જ એક મોટો ખાડો અને તિરાડ પડેલી છે. વ્હીલચેરનું ટાયર આ ખાડામાં આવી જતાં અચાનક સંતુલન બગડ્યું હતું અને વૃદ્ધ દર્દી સીધા રોડ પર ગબડી પડ્યા હતા. આ બનાવ બનતા જ આસપાસ ઉભેલા લોકો અને દર્દીના સંબંધી તાત્કાલિક દોડી આવ્યા હતા. આ વૃદ્ધ જમીન પર પટકાયેલા હોય તેમને ઉભા કરવામાં પણ ઘણી મુશ્કેલી પડી હતી. હોસ્પિટલ કેમ્પસના રોડની હાલત લાંબા સમયથી ખરાબ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી, જેને કારણે અવારનવાર આ પ્રકારના બનાવો બને છે. હાજર લોકોએ જણાવ્યું હતું કે, સિવિલમાં આવતા દર્દીઓ પહેલેથી જ શારીરિક રીતે અશક્ત હોય છે, તેવામાં આવા બિસ્માર રસ્તાઓ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પટકાયેલા વૃદ્ધને મહામહેનતે ફરીથી વ્હીલચેરમાં બેસાડવામાં આવ્યા હતા અને આગળની સારવાર માટે લઈ જવાયા હતા. સદનસીબે આ ઘટનામાં તેમને કોઈ ગંભીર ઇજા થઈ નહોતી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. છતાં હોસ્પિટલના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ દ્વારા કેમ્પસની સુવિધાઓ અને રસ્તાઓના મેન્ટેનન્સ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જો કોઈ ઉચ્ચ અધિકારી કે પદાધિકારી આવવાના હોય ત્યારે જ રસ્તાઓ ચકાચક કરવામાં આવે છે, પરંતુ સામાન્ય દર્દીઓની પીડા જોનાર કોઈ નથી. ત્યારે આ દુર્ઘટના બન્યા બાદ કુંભકર્ણ નિંદ્રામાં સુતેલુ તંત્ર જાગે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.
મતદાર યાદી, નામ કમી કરવા સુનાવણી ફરજિયાત:નાયબ ચૂંટણી અધિકારીએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી.
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થતું નથી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે. સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવાય છે. આથી, નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ચૂંટણી વિભાગ દ્વારા દૈનિક રિપોર્ટ પારદર્શક રીતે જાહેર કરવામાં આવે છે. સત્તાવાર આંકડાઓ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પરથી નામ કમી કરવા માટે કુલ ૨૪,૨૭૮ ફોર્મ-૭ અને નામ ઉમેરવા માટે ૧૪,૪૯૦ ફોર્મ-૬ અને ૬-એ અરજીઓ મળી છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલી ૨૦ હજારથી વધુ નામ કમી કરવાના ફોર્મ એક જ વિધાનસભામાં મળ્યા હોવાની અફવા પાયાવિહોણી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવી રહી છે.
આણંદના વલાસણ ખાતે આવેલા મેલડી માતાજી મંદિરમાં સિયારામ ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિના 51 યુગલો માટે ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવ 24 જાન્યુઆરી, 2025ના રોજ સંપન્ન થયો હતો. સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દિપાલીબેન ઇનામદારે 2023માં આણંદ જિલ્લાની સર્વજ્ઞાતિની 101 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ અંતર્ગત એપ્રિલ 2024માં 51 દીકરીઓના પ્રથમ સમૂહ લગ્ન થયા હતા, જ્યારે ફેબ્રુઆરી 2025માં બીજા 51 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન થયા હતા. આ ત્રીજા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને નવા જીવન માટે જરૂરી ઘરગથ્થુ સામગ્રી, જેમાં ફર્નિચર, વાસણો અને આભૂષણનો સમાવેશ થાય છે, તે સિયારામ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 51 નવદંપતીને એક વિશેષ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યું છે, જેનાથી તેઓ એક વર્ષ સુધી મફત તબીબી સારવાર મેળવી શકશે. દિપાલીબેન ઇનામદારના પતિ વિશાલભાઈ ઇનામદાર આ સેવાકાર્યમાં હંમેશા સહયોગ આપે છે. વિશાલભાઈએ જણાવ્યું કે, આ મેલડી માતાના ધામમાં અમે આ ત્રીજા સમૂહ લગ્ન કરાવ્યા છે. માનવ તરીકે અમે અમારી બધી શક્તિઓ લગાવીએ છીએ, પણ સૌથી મોટી શક્તિ તો વલાસણની માં મેલડી છે, જે અમને આ સેવાના કાર્યમાં સતત આગળ વધારે છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજય ગોહિલ અને વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા ઉપસ્થિત રહી 51 યુગલોને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાતના ખ્યાતનામ કલાકારો જીગ્નેશ કવિરાજ, હકાભા ગઢવી અને સાગર પટેલ પણ હાજર રહી લગ્નગીતો રજૂ કર્યા હતા. આ સમૂહ લગ્નમાં 9000 લોકોના જમણવારનો સંપૂર્ણ ખર્ચ સિયારામ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
વલસાડના દુલસાડમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા:પોલીસે ₹61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો, બે વોન્ટેડ
વલસાડના દુલસાડ ગામમાં પોલીસે જુગાર પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ₹61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ તાલુકાના દુલસાડ ગામના વાધ્યા ફળીયામાં આવેલ ખુલ્લી જગ્યામાં તીનપતિનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. આ દરોડામાં વિકીકુમાર સુરેશભાઈ પટેલ (ઉ.વ. 32), કયુમ નઝીર શેખ (ઉ.વ. 33) અને નિલેશભાઈ આનંદભાઈ પટેલ (ઉ.વ. 32)ને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી જુગારના ગંજીપાના, દાવ પરની રોકડ રકમ, મોબાઇલ ફોન અને બે મોટરસાયકલ સહિત કુલ ₹61,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે, પોલીસ કાર્યવાહી દરમિયાન મયુરભાઈ અમરતલાલ પટેલ, જુબેર કુરેશી અને મેહુલ ઉર્ફે લાલો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે પકડાયેલા અને ફરાર થયેલા ઈસમોએ કોઈ આધાર પુરાવા વગર ગંજીપાના દ્વારા તીનપતિનો જુગાર રમી કાયદાનો ભંગ કર્યો હતો. આ મામલે સંબંધિત પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુરેન્દ્રનગરના નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે પ્રક્રિયાની સ્પષ્ટતા કરી છે અને નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થઈ જતું નથી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે. નામ કમી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે છે. નાયબ ચૂંટણી અધિકારીએ નાગરિકોને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સત્તાવાર આંકડાઓચૂંટણી વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીનો દૈનિક રિપોર્ટ પારદર્શક રીતે જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર નામ કમી કરવા 24,278 અને નામ ઉમેરવા 14,490 અરજીઓ કરાઈ છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવા કે 'કોઈ એક જ વિધાનસભામાં 20,000થી વધુ નામ કમી કરવાના ફોર્મ મળ્યા છે,' તેને તંત્રએ તદ્દન પાયાવિહોણી ગણાવી છે.
Shankaracharya Camp Seeks FIR After Late-Night Uproar : ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તથા સરકાર વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. માઘ મેળામાં પાલખી સાથે સ્નાન મુદ્દે સંતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદથી શંકરાચાર્ય સતત રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. એવામાં ગઇકાલે રાત્રે ફરીથી પ્રયાગરાજમાં ભારે હોબાળો સર્જાયો હતો. શંકરાચાર્યના શિબિરની બહાર ભારે હોબાળો પ્રયાગરાજમાં માઘ મેળાના સેક્ટર-4માં શંકરાચાર્યના શિબિરની બહાર શનિવારે રાત્રિના સમયે અસામાજીક તત્વોએ હોબાળો મચાવ્યો.
પીએમ સ્વનિધિ યોજનાનો શુભારંભ કરાયો:97 શહેરી ફેરિયાઓને લોન સહાયના ચેક એનાયત કરાયા
સુરેન્દ્રનગરમાં પીએમ સ્વનિધિ યોજના 2.0 યોજના હેઠળ 1 લાખ લાભાર્થીઓને લોન વિતરણનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. આ કડીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભાખંડમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 97 લાભાર્થીઓને લોન સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. નાના વેપારીઓને આર્થિક પીઠબળકેરળના તિરુવનંતપુરમથી પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ લાભાર્થીઓને સંબોધતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ યોજના કોરોના થી પ્રભાવિત શેરી ફેરિયાઓને આજીવિકા માટે વર્કિંગ કેપિટલ લોન આપી આર્થિક રીતે સશક્ત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ધરાવે છે. તેમણે લાભાર્થીઓને વ્યવસાયની સાથે શહેરને સ્વચ્છ રાખવા અને કચરો કચરાપેટીમાં જ નાખવા અપીલ કરી હતી. આ યોજનાને રોજ કમાઈને રોજ ખાનારા પરિવારો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણાએ લાભાર્થીઓને સન્માનભર્યું જીવન જીવવા પ્રોત્સાહિત કર્યા હતા. બેંક ઓફ બરોડાના પ્રતિનિધિઓએ યોજનાના લાભો અને ક્રેડિટ કાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિકસિત ભારત થીમ પર લઘુફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મૂળી તાલુકામાં અનેક પ્રાચીન સ્થાનો આવેલા છે. તે પૈકીની એક એટલે મંદિરની ભવ્ય હવેલી. શ્રીજી મહારાજની આજ્ઞાથી સંવત 1932માં ધોલેરા બંદર મારફત રંગુન બર્માથી સાગ સીસમ મંગાવીને પોતાની આગવી સુઝથી સદગુરુ નિર્દોષાનંદ સ્વામીએ નિર્માણ કરાવી હતી. તેનો ઉપયોગ માત્ર સાંખ્યયોગી તથા બહેનોના ઉતારા માટે કરવામાં આવતો. પદયાત્રાએ આવતી બહેનોને હવેલીમાં ઉતારો અપાતો. તેમાં ભગવાનની કથાવાર્તા, ધૂન - કિર્તન અને ભક્તિ થઇ શકે તે માટે હરીમંદિર બનાવવામાં આવ્યું છે. હવેલીમાં ગાદીવાળા પણ ઉતરતા હોવાથી સમગ્ર પંથકમાં તેનું અનેરું મહત્વ છે.
મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલો શ્રમજીવી પરિવાર મજૂરી કામમાં વ્યસ્ત હતો એ દરમિયાન આ કંપનીના તેમના ક્વાર્ટરમાં એકલી રહેલી 12 વર્ષની પુત્રી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ રસ્તો ભૂલી ગઈ હતી. જો કે ઘરેથી નીકળ્યા બાદ બાળકીને પોતાની ભૂલ તો સમજઇ ગઇ હતી પરંતુ ઘરનો રસ્તો મળતો ન હતો. આ બાળકીનો ભેટો એક સજ્જન વ્યક્તિ સાથે થઈ ગયો હતો. જેણે બાળકીને 181 અભયમ ટીમને સોંપી દીધી હતી અને અભયમ ટીમે દીકરીના માતા પિતાની શોધખોળ કરી બાળકીને પરિવારને સોંપી દીધી હતી. જેથી બાળકીની જિંદગી રોળાતા બચી ગઇ હતી. મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિએ કોલ કરીને એક આશરે બાર વર્ષની દીકરી ઘરેથી નીકળ્યા બાદ રસ્તો ભૂલી જતાં પરિવારથી વિખૂટી પડી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ તે બાળકી પાસે પહોંચી ગયા હતા અને હકીકત જાણવા પ્રયાસો કર્યા હતા.બાળકી રસ્તા પર એકલી અને ગભરાયેલી હોવાથી અભયમ ટીમે બાળકીને સાંત્વના આપી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળકી ડરી ગઈ હોવાથી કશું બોલતી ન હતી. અભયમ ટીમે સંવેદનશીલતા અને માનવતા દાખવી કામગીરી કરી હતી. સમયસર મદદ મળતાં બાળકી સુરક્ષિત પરિવાર સુધી પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બાળકીને આજુબાજુના વિસ્તારમાંલઇ જવાઇ, જેથી ઘરની ભાળ મળેગભરાયેલી બાળકી કશું બોલતી ન હોઇ, ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ (1098) જનરક્ષક (112) ટીમ સાથે સંકલનમાં રહી 181 ટીમે બાળકીને રેસ્ક્યુ વાનમાં બેસાડી આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ તેના ઘરનું સરનામું અને વાલીવારસોની શોધખોળ આદરી હતી. ઘણા પ્રયત્નોના અંતે આ બાળકીનો પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઓડિસાના છે અને મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવ્યા છે. બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી તેમને જાણ કર્યા વગર નીકળી ગઈ અને રસ્તો ભૂલી ગઈ હતી. પરિવારજનો પુત્રીની ભારે શોધખોળ છતાં ન મળતાં ચિંતિત હતા. 181 ટીમ અને સજ્જનના પ્રયાસોથી પુત્રી હેમખેમ મળી આવતા તેના પરિવારજનોએ રાહત અનુભવી હતી.
ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં રિક્ષાચાલકે બ્રેક મારતા લોકલ પાછળ એક્સપ્રેસ બસ ટકરાઈ
મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર ઉમા રેસિડેન્સી સામેના ભાગમાં આગળ જઈ રહેલી રીક્ષાના ચાલકે બ્રેક મારતા લોકલ એસટી બસના ચાલકે પણ અચાનક બ્રેક મારી દીધી હતી જેના પગલે તેની પાછળ આવતી એક્સપ્રેસ બસ લોકલ પાછળ ધડામ દઇને ટકરાઇ હતી જેમાં 10થી વધુ મુસાફરને ઇજા પહોંચી હતી. મોરબીથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર મહેન્દ્રનગર ગામથી ઘુટું ગામ વચ્ચે આવેલા મુખ્ય રસ્તા ઉપર બે એસટી બસ અને એક રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં આ રોડ ઉપર આગળ જઈ રહેલી રિક્ષાની પાછળના ભાગમાં મોરબી જિકિયારી રૂટની લોકલ બસ આવી રહી હતી તેના ડ્રાઇવરે બસને રોકવા માટે બ્રેક મારી હતી જેથી આ બસની પાછળના ભાગમાં મોરબી ધંધુકાની એસટીની બસ આવી રહી હતી, જે બસ લોકલ બસની પાછળના ભાગમાં અથડાઇ હતી. જેથી આ અકસ્માતમાં 10થી વધુ મુસાફરો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દબાણો કરાયા દૂર:મોરબીમાં ટ્રાફિકને અડચણરૂપ 22 દબાણોનો ‘રસ્તો’ કરી દેવાયો, માર્ગો વધુ પહોળા બન્યા
મોરબી મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી કરાઇ હતી. જેમાં મોરબી મનપામાં સમાવિષ્ટ શહેરના હાર્દ સમાન સરદારબાગથી ઉમિયા સર્કલ, ગેંડા સર્કલથી મહેન્દ્રનગર ગામ, નેહરુ ગેટથી જૂના બસ સ્ટેન્ડ રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મનપાની એસ્ટેટ અને દબાણ શાખાએ 22 દબાણ દૂર કરી સમગ્ર માર્ગોને ખુલ્લો કર્યો હતો. રોડ પર દબાણ કરતાં લોકો સમક્ષ દંડ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં મનપાએ અંદાજિત 8700 જેટલી રકમ દબાણકારો પાસેથી વસૂલી હતી. ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરી માર્ગોને પહોળા કરતા ટ્રાફિક સમસ્યા હળવી બનશે. તેમજ દબાણ શાખાએ રવાપર રોડથી લીલાપર ચોકડી, GIDC રોડ તેમજ સ્વાગત ચોકડીથી રવાપર ગામ તરફ ખડકેલા 60 કીઓસ્ક અને 10 હોડિંગ્સ દૂર કર્યા હતા. હોસ્પિટલ ઝોનમાં દબાણોને હાથ પણ ન લગાડ્યો!કોર્પોરેશન દ્વારા દબાણ હટાવની કામગીરી અણઘડ રીતે કરવામાં આવતી હોય એવું ચિત્ર ઉપસ્યું છે.શહેરના મુખ્ય માર્ગો ઉપર દબાણો દૂર તો કર્યા જ છે. પણ જ્યાં દબાણો દૂર કરવાની ખાસ જરૂરત છે એવા હોસ્પિટલ ઝોન એટલે સાવસર પ્લોટ વિસ્તારમાં દબાણોને હાથ પણ લગાડવામાં આવ્યો નથી. આ હોસ્પિટલ ઝોનમાં ગીચતા એટલી બધી વધી ગઈ છે કે,એમ્બ્યુલન્સને ઇમરજન્સી દર્દીને લઈને હોસ્પિટલ ઝોનમાં જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ દબાણો દૂર કરવા તાજેતરમાં સામાજિક કાર્યકરોએ મનપાને રજૂઆત કરી હતી. પણ મનપાએ એ રજૂઆતને ગણકારી જ નથી.
સન્ડે ફોટો સ્ટોરી:હેરિટેજ વે : મોરબીના દરબારગઢથી દેખાતા નેહરુગેટની આછેરી ઝલક
મોરબી | સિરામિક સીટી મોરબી આજે અનેક પણ ઐતિહાસિક ઇમારતો અને તેનો ભવ્ય ઇતિહાસ સંઘરીને શ્વસી રહ્યું છે. આૈદ્યોગિક ક્ષેત્રે અકલ્પનીય ઉડાન ભરનારા શહેરની ઓળખ આઝાદી પહેલાં પણ આધુનિક સ્ટેટ તરીકે થતી હતી . યુરોપિયન શૈલીમાં થયેલા બાંધકામ તેમજ રાજસ્થાનના જયપુરી શૈલીમાં મોરબીના મુખ્ય બજારની સંરચના કરવામાં આવી હતી. દરબારગઢથી છેક નહેરુગેટ નજરે પડે તે રીતે સીધી હરોળમાં જ બજાર બનાવાઇ હતી, જો કે હવે આડેધડ થતા બાંધકામ પર તંત્રનો કોઇ અંકુશ નથી. આ તસવીર થકી દરબારગઢથી દેખાતા નહેરુ ગેટ ચોકના રસ્તા અને ઇમારતની ભવ્યતાની આછેરી ઝલક પ્રસ્તુત કરવાનો પ્રયાસ છે.
અકસ્માતની ભીતિ સર્જાઈ:વોર્ડ-10માં જર્જરિત ઇમારત ગમે ત્યારે ખાબકી શકે છે
ગાંધીધામના વોર્ડ- એ-એ, ગુરુકુલ વિસ્તારમાં આવેલું પાંચ માળનું ‘અંબિકા એપાર્ટમેન્ટ’ હાલમાં સ્થાનિકો માટે લટકતી તલવાર સમાન બન્યું છે. વર્ષ-2001ના ભૂકંપ પહેલાં બનેલું આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પ્લોટ નં. 14 અને16ના રહીશો સતત ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. સ્થાનિક રહીશોએ કરેલી વેધક રજૂઆત મુજબ, તાજેતરમાં આવેલા 4.2ની તીવ્રતાના ભૂકંપ વખતે આખું બિલ્ડિંગ ડોલતું જોઈને આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. રહીશોનો આરોપ છે કે મકાન માલિકો રિપેરિંગનો ખર્ચ કરતા નથી અને 80% ભાડુઆતો જોખમ વચ્ચે રહી રહ્યા છે.જાનહાનિ થશે તો જવાબદાર કોણ? રહીશોએ ચીફ ઓફિસરને છે, પરંતુ હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ નથી. જો આ એપાર્ટમેન્ટ તૂટી પડશે અને જાનહાનિ કે માલ-મિલકતનું નુકસાન થશે, તો તેની તમામ જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે તેવી રહીશોએ ચીમકી ઉચ્ચારી છે.ન્યાય નહીં મળે તો ધરણાં અને ઉપવાસ કરાશે “અમે મોતના મુખમાં જીવી રહ્યા છીએ. આર્થિક મજબૂરીને કારણે ઘર છોડી શકતા નથી અને જર્જરિત બિલ્ડિંગના લીધે અમારું ઘર કોઈ ખરીદવા તૈયાર નથી. જો તંત્ર તાત્કાલિક ડિમોલિશન નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું પણ રહેવાસીઓ જણાવી રહ્યા છે. શહેરમાં અનેક જોખમી ઇમારત અકસ્માતો સર્જી ચુકી છેતા.26 જાન્યુઆરી 2001 ના વિનાશક ભુકંપને આજે 25 વર્ષ પુર્ણ થઇ રહ્યા છે, ગાંધીધામ અને આદિપુરમાં 350 થી વધુ જોખમી ઇમારતો દુર કરવા માટે અનેક વખત લેખિત અને મૌખિક રજુઆતો થઇ છતાં આ ઇમારતો તોડાતી નથી, આદિપુરમાં છજું પડતા ચોકિદાર પરિવારની માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ બની છે તો નાના મોટા અકસ્માતો થયા હોવાનું પણ સામે આવી ચુક્યું છે. છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કેમ કરાતી નથી એ મુંજવતો સવાલ છે. મનપાએ નોટિસ આપી છે , તો શું કામ કાર્યવાહી નહીં ?પ્લોટ નં.14 તથા 16 ના રહેવાસીઓની તા. 13 ફેબ્રુઆરી 2025 ના કરાયેલી ફરિયાદના આધારે ગાંધીધામ ખાતે વોર્ડ-10/એ-એ ના પ્લોટ નં.15 ઉપર બનેલા અંબીકા અપાર્ટમેન્ટ વાળી ઈમારતની તપાસ કરાવતા માલુમ પડ્યું છે કે, બિલ્ડીંગ વર્ષ: 2001 માં આવેલા ભુકંપમાં મોટા પાયે ક્ષતિગ્રસ્ત થયેલી છે અને ધંધાકીય હેતુ માટે પુર્ણતઃ અસુરક્ષીત અને જોખમ રૂપ છે. જેના કારણે ઉપરોકત ઈમારત કોઈ પણ સમયે જોખમ ઉભું કરે અને આકસ્મીક દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી તાત્કાલીક અસર થી સદરહુ ઈમારત તોડવા પાત્ર રહે છે. જેથી આપની માલિકી કે ભોગવટાવાળી અંબીકા અપાર્ટમેન્ટ નામની ઈમારત જે પ્લોટ નં.15 ઉપર બનેલી છે, તે ઈમારત ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૩ અને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન ની કલમ-264 હેઠળ આ નોટીસ મળ્યેથી જર્જરીત ભાગ દિવસ-07 ની અંદર તોડી અથવા ઉતારી પાડવા સુચના આપવામાં આવે છે. આ નોટિસ મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (પ્રોજેક્ટ) દ્વારા અપાઇ હોવા છતા કોઇ કાર્યવાહી શા માટે કરાઇ નથી? આ સવાલો રહેવાસી કરી રહ્યા છે.
એજન્સીઓ સતર્ક બની:જમ્મુ કાશ્મીરના બે ઇસમ લક્કીનાળા પહોચ્યા
સરહદી કચ્છ જિલ્લાના પ્રતિબંધિત લક્કીનાળા વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના બે ઈસમોએ પરવાનગી વગર પ્રવેશ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ટ્રસ્ટ માટે અલગ અલગ મસ્જીદોમાં જઈ ચંદો ઉઘરાવતા આરોપીઓને કોઠારા પોલીસ અને એસઓજી દ્વારા બોર્ડર વિસ્તારમાં ફરવા મામલે પરવાનગી લેવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપીઓ લાલા ગામથી લક્કીનાળા વિસ્તારમાં આવેલી મસ્જીદ સુધી પહોંચી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીના પીએસઆઈ પી.સી.શીંગરખીયાએ નારાયણ સરોવર પોલીસ મથકે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના અતોલી ગામના આરોપી જાવેદઈકબાલ મોહમદઅસરફ શેખ અને મહોંમદમુસ્તાક હસનદીન રેસી સામે ગુનો નોંધાવ્યો છે. બન્ને આરોપી અલગ-અલગ ટ્રસ્ટોમાં નોકરી કરે છે અને આ ટ્રસ્ટો બાળકોના શિક્ષણની પ્રવૃતિ સાથે જોડાયેલા છે. ગત 17 જાન્યુઆરીના બન્ને આરોપી ટ્રસ્ટ માટે ચંદો માંગવા ગાંધીધામ આવ્યા હતા. જ્યાંથી માંડવી જઈ અલગ-અલગ મસ્જિદોમાં ચંદો ઉઘરાવી 18 જાન્યુઆરીના નલિયા પહોંચ્યા હતા અને 19 જાન્યુઆરીના નલિયાની મસ્જીદમાં ચંદો ઉઘરાવતા સમયે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને કચ્છ જિલ્લો બોર્ડરનો જિલ્લો હોવાથી પૂર્વ પરવાનગી મેળવવા માટે સમજ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ 20 જાન્યુઆરીના લાલા ગામની મસ્જીદમાં અને 21 જાન્યુઆરીના કોઠારા વિસ્તારની મસ્જીદમાં ચંદો ઉઘરાવી રાત્રે જય અંબે ગેસ્ટ હાઉસમાં રોકાયેલા હતા. એ દરમિયાન કોઠારા પોલીસ બન્ને આરોપીને પૂછપરછ માટે ઉઠાવી ગઈ હતી અને એસઓજીને સોપવામાં આવ્યા હતા. આરોપીઓએ જણાવેલી વિગતમાં શંકા દેખાતા એસઓજીએ વધારે પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ પોતે 20 જાન્યુઆરીના લાલા ગામથી વાયોર વાળા રસ્તે લક્કીનાળા વિસ્તારમાં ગયા હોવાનું જણાવ્યું હતું. અને તે વિસ્તારમાં આવેલી મસ્જીદ બાબતે તપાસ કરી હતી પરંતુ ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા ન હોવાથી પરત લાલા ગામે આવી ગયા હોવાની કબુલાત આપી હતી. બન્ને આરોપીઓએ પરવાનગી વગર સરહદી વિસ્તારમાં પ્રવેશ કરતા નારાયણ સરોવર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોનમાં પાકિસ્તાની નંબર મળતા શંકાસ્પદશૈક્ષણિક ટ્રસ્ટ માટે સરહદી વિસ્તારની અલગ અલગ મસ્જીદોમાં જઈ ચંદો ઉઘરાવતા આરોપીઓની ગતિવિધિ શંકાસ્પદ જણાતા એસઓજીએ વધુ તપાસ કરી હતી. એ દરમિયાન આરોપી જાવેદઈકબાલ મોહમદઅસરફ શેખનો ફોન તપાસતા તેમાંથી પાકિસ્તાની મોબાઈલ નંબર મળી આવ્યો હતો. જે બાબતે આરોપીએ કોઈ સંતોષકારક જવાબ ન આપી ગોળગોળ વાતો કરી હતી. આ મામલે એસઓજીના પીઆઈ એ.ડી.પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપીની પૂછપરછ કરતા પાકિસ્તાની મોબાઈલ નંબર કોઈ મૌલાનાના હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસે ફોનને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલાવ્યો છે.
પાકિસ્તાની ઘુસણખોર પોલીસના સંકજામાં:ખાવડા વિસ્તારની સરહદ પરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
સરહદી કચ્છ જિલ્લામાંથી અવાર નવાર પાકિસ્તાની ઘુસણખોર ઝડપાઈ ચુક્યા છે તેવામાં હવે ખાવડા વિસ્તારની સરહદેથી બીએસએફે પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો છે.જે પ્રાથમિક તપાસમાં માનસિક હોવાનું સામે આવ્યું છે જેને જેઆઈસી ખાતે મોકલી દેવામાં આવ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં અવાર નવાર ઘુસણખોરીના બનાવી સામે આવી રહ્યા છે.ખાવડા વિસ્તારની સરહદે પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોને પીલર નંબર 1076 અને 1077 પાસે ગતિવિધિ દેખાઈ હતી.જેથી સ્થળ પર તપાસ કરતા એક પાકિસ્તાની ઘુસણખોર તેમને હાથ લાગ્યો હતો. સમગ્ર મામલે ખાવડા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ પાકિસ્તાની શખ્સ માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.જેની પાસેથી કોઈ આધાર પુરાવા પણ મળ્યા નથી.જોકે હાલ તેને જેઆઈસી ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને એજન્સીઓ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ એક્શન મોડમાં:પોલીસે ખૂની, લૂંટારુઓની ‘ખાતાવહી’ અપડેટ કરી
પૂર્વ કચ્છમાં ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં આવી છે. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખૂન, લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 550 જેટલા આરોપીઓને આજે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તમામના ડોઝિયર ફોર્મ ભરીને ભવિષ્યમાં ગુનો ન આચરવા કડક તાકીદ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક સાગર બાગમારે હાજર રહેલા તમામ આરોપીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુનો કરનારા દરેક શખ્સ પોલીસની નજરમાં જ હોય છે. જો હવે પછી કોઈ પણ ગુનો આચરવામાં આવશે અથવા સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરેલું જણાશે તો પોલીસ અત્યંત કડક કાર્યવાહી કરશે. તેમણે આરોપીઓને સમજાવ્યા હતા કે તમારી ભૂલોને કારણે તમારા નિર્દોષ પરિવારજનો અને બાળકોએ પણ મુસીબતમાં મુકાવું પડે છે.આ સામૂહિક ઇન્ટ્રોગેશન વખતે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ,લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ આરોપીઓના રેકોર્ડ અપડેટ કરવા માટે ‘ડોઝિયર ફોર્મ’ ભરાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં કોઈ પણ ગુનાના ઉકેલ માટે આ ડેટાનો ઉપયોગ થઈ શકે.
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા તારીખ 19થી 24 જાન્યુઆરી દરમિયાન “એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન” વિષય પર એક સપ્તાહના રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું સમાપન સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને એનર્જી ડિસ્પર્સિવ એક્સ-રે જેવા અત્યાધુનિક સાધનોની પ્રાયોગિક તાલીમ સાથે થયું હતું. કલકત્તાથી આનંદ ગુંજોટીકર અને જાપાનની JEOL કંપનીના પ્રમોદભાઈ દ્વારા SEM-EDS સાધનની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ સાધન કચ્છ વિસ્તારમાં ફક્ત કચ્છ યુનિવર્સિટીમાં જ ઉપલબ્ધ છે, જે ઉચ્ચ સ્તરીય સંશોધન માટે ખૂબ ઉપયોગી છે. વર્કશોપ દરમિયાન મેહર ટેક્નોલોજીના CEO કૃષ્ણદાસ પાટીલ દ્વારા અલ્ટ્રા પ્યોર વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ અને પ્રોસેસ ઇક્વિપમેન્ટ્સ જેવા કે બાયોરિએક્ટર્સ, લાયોફિલાઇઝર વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્કશોપના સમાપન સમારોહમાં ગાઇડ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. વી. વિજયકુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ અને કુલસચિવ ડો. અનિલ ગોરે આ સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ડો. વિજયકુમાર રામે જણાવ્યું હતું કે આ વર્કશોપમાં Shimadzu, Rigaku, Agilent, Waters, Metrohm, Jeol જેવી જાપાન, સ્વિટ્ઝર્લૅન્ડ, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને સિંગાપોર સહિતના દેશોની જાણીતી કંપનીઓના કુલ 27 અનુભવી નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ નિષ્ણાતો દ્વારા રામન સ્પેક્ટ્રોસ્કોપી, આયર્ન ક્રોમેટોગ્રાફી અને નિયર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી જેવી તકનીકો પર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. મેટ્રોમ કંપની, સ્વિટ્ઝર્લૅન્ડના ઇન્ડિયા હેડ ભાવસાહેબે રામન સ્પેક્ટ્રોસ્કોપી અને આયર્ન ક્રોમેટોગ્રાફીનું મહત્વ સમજાવ્યું હતું, ખાસ કરીને પાણીમાં ફ્લોરાઈડ જેવા આયનોની માનવ સ્વાસ્થ્ય પર થતી અસર અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત બાયોસેન્સર્સ, ટાઈટ્રેશન અને ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 30થી વધુ સંસ્થાઓ અને કંપનીઓમાંથી આવેલા સહભાગીઓને એક જ પ્લેટફોર્મ પર વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓના નિષ્ણાતોનું માર્ગદર્શન મળ્યું, જે કચ્છ પ્રદેશના સંશોધન અને વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
ઈ-રિક્ષાનું કરાયું લોકાર્પણ:ના. સરોવર તેમજ જુમારા ગ્રામ પંચાયતને બે બે ઈ-રિક્ષા અપાઇ
લખપત તાલુકા પંચાયત કચેરી દ્વારા વી.વી.પી-2 હેઠળ ખરીદાયેલી આવેલ 9.91 લાખની ચાર પૈકીની બે ઈ-રિક્ષા નારાયણ સરોવર તથા બે જુમારા ગામને આપવામાં આવી હતી. તાલુકા પંચાયત લખપત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા, ઉપપ્રમુખ રજુભાઈ સરદાર, તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરેમેન અશોકભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી વસંતભાઈ ચંદે, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દલપતસિંહ રાણા, નાયબ હિસાબનીશ નિમેષ પટેલ, સિનિયર કલાર્ક એસ.બિહોલા, જુનિયર કલાર્ક નકુલદાન ગઢવી તેમજ તાલુકા પંચાયત સ્ટાફની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
પાનધ્રો લિગ્નાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ખાણ વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીને લઈને જીએમડીસી (GMDC) અને ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ સર્જાયો છે. સંકલન સહ ફરિયાદ સમિતિમાં GMDC દ્વારા રજૂ કરાયેલા અહેવાલો અને જમીની હકીકત વચ્ચે આભ-જમીનનો તફાવત હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. જીએમડીસી પાનધ્રો લિગ્નાઈટ પ્રોજેક્ટ દ્વારા તાજેતરમાં સંકલન સહ ફરિયાદ સમિતિ સમક્ષ માહિતી રજૂ કરવામાં આવી હતી કે, હાલ ફ્લાય એશ દ્વારા બેક ફિલિંગ કરી જમીન સમતલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તંત્રને અપાયેલી માહિતી મુજબ, અંદાજિત 90% ખાડા પૂરીને જમીન સમતલ કરી દેવામાં આવી છે અને વૃક્ષારોપણની કામગીરી પણ ચાલુ છે. GMDCના આ દાવાની ખરાઈ કરવા માટે પાનધ્રો ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ રાયમા દરિયાખાન ઇશાક અને અન્ય આગેવાનોએ સ્થળ તપાસ હાથ ધરી હતી. આ ટીમમાં અગ્રણીઓ જવારા મહારાજ, ગણપતભાઈ હેડાઉ, દિનેશભાઈ રાજગોર, ખલીફા ઇસ્માઇલ અલી તથા મેમણ આમદ હાજી રમજૂ જોડાયા હતા. આગેવાનોએ માઈનની અંદર જઈને તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, “GMDCનો 90% કામગીરી પૂર્ણ થયાનો દાવો તદ્દન ખોટો અને ભ્રામક છે. હકીકતમાં સ્થળ પર માત્ર 10% જેટલું જ સમતલીકરણ થયું છે, જ્યારે 90% કામગીરી હજી બાકી છે.” ગ્રામ પંચાયતે આક્ષેપ કર્યો છે કે જીએમડીસી દ્વારા ખોટી માહિતી આપીને સંકલન સમિતિ, તંત્ર અને લોકપ્રતિનિધિઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. આ બાબત પર્યાવરણ અને ગ્રામજનોની સુરક્ષા સાથે જોડાયેલી હોવાથી પંચાયતે આકરું વલણ અપનાવ્યું છે. પંચાયત દ્વારા જીએમડીસીને નોટિસ અપાશેગ્રામ પંચાયત દ્વારા જીએમડીસીનેનોટિસ આપવામાં આવશે. જો આ બાબતે તાત્કાલિક સંતોષકારક નિરાકરણ નહીં આવે અને ખોટી માહિતી આપનારા સામે જવાબદારી નક્કી નહીં થાય, તો ગ્રામ પંચાયત આ મુદ્દો માનનીય હાઈકોર્ટ સુધી લઈ જશે. આ સમગ્ર પ્રકરણમાં હવે જીએમડીસી પ્રશાસન શું ખુલાસો કરે છે અને તંત્ર આ ગંભીર બેદરકારી સામે શું પગલાં લે છે, તેના પર ગ્રામજનોની મીટ મંડાયેલી છે.
માર્ગનું ખાતમુહૂર્ત કરાયું:કોટડા-જુણાંગીયા તેમજ મુધાન-સિયોત માર્ગનું ખાતમુહૂર્ત કરાયું
લખપત તાલુકાના કોટડા,સાંભડાથી જુણાંગીયા માર્ગ તેમજ દોલારુંકોઠી નદી પર નિર્માણ પામનારા ચેકડેમ સાથે મુધાન-સિયોતના રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. રૂ.350 લાખના ખર્ચે બનનાર કોટડા-જુણાંગીયા માર્ગ તેમજ દોલારુંકોઠી નદી પર રૂ. 74.68 લાખના ખર્ચે બનનાર બીગ ચેક ડેમનું સાંભડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાતમુહૂર્ત કર્યું હતું. મુધાનમાં 160 લાખના ખર્ચે નિર્માણ પામનારા મુધાન-સિયોત માર્ગના કામનો આરંભ કરાવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા,ગણપત રાજગોર, જેતમાલજી જાડેજા, હઠુભા સોઢા, જવારા મારાજ, નવીન જોશી, ખેંગારજી જાડેજા, લાલુભા સોઢા, કુલદીપસિંહ ચાવડા, અશોક સોલંકી, માર્ગ મકાન વિભાગના રામજીભાઈ આર ગાગલ તેમજ રાહુલ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા.
રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વર્ષ 2026ની ઉજવણી અંતર્ગત એક સન્માન સમારોહનું આયોજન જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2008થી શરૂ કરાયેલ આ અભિયાન અંતર્ગત દર વર્ષે 24 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે, જેના મુખ્ય ઉદ્દેશ દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવો, બાળલગ્ન નાબૂદ કરવો, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ, આરોગ્ય અને સન્માન સુનિશ્ચિત કરવો તથા સમાજમાં જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર ધોરણ 8 અને 12માં A+ ગ્રેડ મેળવનાર તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કિટ આપી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત વ્હાલી દીકરી યોજના અંતર્ગત કુલ ₹5.50 લાખના મંજુરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ યોજનાના પાંચ અરજદાર દીકરીઓને દીકરી વધામણા કિટ આપી સન્માન કરાયું હતું. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે દીકરીઓ સાથે સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે દરેક દિવસ દીકરીઓનો દિવસ છે અને ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત છે. તેમણે દીકરીઓને માત્ર ડિગ્રી પૂરતી સીમિત ન રહી કોઈને કોઈ કુશળતા વિકસાવવાની સલાહ આપી હતી, જેથી જીવનના પડકારો સામે મજબૂતીથી ઉભી રહી શકે. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરી જ્ઞાન મેળવવા અને સમાજ માટે ઉપયોગી બનવા અનુરોધ કર્યો હતો. સમાજમાં ચાલતા કૂરીવાજો સામે અવાજ ઉઠાવવાની અપીલ સાથે તેમણે દીકરીઓને શિક્ષિત બનો, સુરક્ષિત રહો અને આગળ વધો તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલે હેતુ સમજાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાટવાડી શાળાના આચાર્ય રાજેશભાઈ ગોરે કર્યું હતું, જ્યારે મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ અને તેમની ટીમે સફળ આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં સન્માનિત દીકરીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિન્ટર ફેસ્ટિવલમાં અદ્ભુત પ્રસ્તુતિ:LLDC અજરખપુરમાં કળા, સંસ્કૃતિ અને સંગીતનો રચાયો ત્રિવેણી સંગમ
કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકળાને જીવંત રાખતી સંસ્થા ‘શ્રુજન’ દ્વારા આયોજિત LLDC વિન્ટર ફેસ્ટિવલ - 2026 ના ચોથા દિવસે કળા અને સંગીતનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. 24 જાન્યુઆરી, 2026 ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોથી લઈને રાષ્ટ્રીય સ્તરના સંગીતકારોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગાર્ડન સ્ટેજ ખાતે સાંજે ‘રેયાણ’ કાર્યક્રમ અંતર્ગત લોકસંગીત અને સાહિત્યની સરવાણી વહી હતી, જેમાં લીડ સિંગર દેવલ ગઢવી અને જીગ્નેશ ગઢવીએ પોતાના સ્વરોથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. હિમાંશુ રાસ્તે દ્વારા સાહિત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગાયિકા જાનકી પંડ્યા, કીબોર્ડ પર નિખિલ ગોસ્વામી, વિપુલ મહેતા, સ્વર માંકડ અને રિધમ ગોર જેવા કુશળ વાદકોએ સંગીતની મહેફિલ જમાવી હતી. આ ઉપરાંત વિવિધ ડાન્સ એકેડમીઓ દ્વારા મનમોહક નૃત્ય રજૂ કરવામાં આવ્યા, જેમાં ખાસ કરીને ગાંધીધામની નાટ્યાલય સ્કૂલ ઓફ ડાન્સ, મધ્યપ્રદેશનું લોકરાગ સમિતિ ડાન્સ ગ્રુપ, માર્ગમ ડાન્સ એકેડમી અને અદ્વાયા ડાન્સ એન્ડ વેલનેસ સ્ટુડિયોના કલાકારોએ કળા અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. વિન્ટર ફેસ્ટિવલના મુખ્ય સ્ટેજ પર ‘ધ કોંકણ કલેક્ટિવ’ દ્વારા મહારાષ્ટ્રની કળા અને સંસ્કૃતિ દર્શાવતું વિશેષ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું. આ સંગીત પ્રસ્તુતિમાં પરંપરાગત અને આધુનિક સંગીતનો સમન્વય જોવા મળ્યો હતો, જેણે સમગ્ર વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. આ ફેસ્ટિવલ માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ ભારતની વિસ્તરેલી કળા અને સંસ્કૃતિને એક મંચ પર લાવીને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ છે. મોટી સંખ્યામાં કલાપ્રેમીઓએ ઉપસ્થિત રહીને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં કચ્છી અને ગુજરાતના પ્રસિદ્ધ ગીતો પ્રસ્તુત કરાયા હતા. 8 રાજ્યોના કારીગરો વચ્ચે સંવાદ થયો સંવાદ કાર્યક્રમમાં આઠ રાજ્યો, જેમાં આસામ, મેઘાલય, ઓડિશા, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા, નાગાલેન્ડ, ઉત્તરાખંડ તેમજ કચ્છ અને ગુજરાતની પારંપરિક હસ્તકળાઓંના અંદાજિત ૬૦ જેટલા વિવિધ કારીગરો વચ્ચે સંવાદ યોજાયો હતો. હસ્તકળાના નિષ્ણાત જુહી પાંડેએ સંચાલન કર્યું હતું. જેમાં, કળાના ભવિષ્ય, ટકાઉ વિકાસ, સંયુક્ત પ્રયાસો, જી.આઈ ટેગનું મહત્વ અને તેની ચર્ચા, હાલની બજારમાં પારંપરિક હસ્તકળાના મહત્વના પ્રદાન, કળાના પ્રચાર-પ્રસાર અને જાળવણીમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ અને મહત્તાની ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ હતી. સન્માનમાં સંસ્થાના મેનેજીંગ અમીબેન શ્રોફ, સી.ઈ.ઓ રાજીવભાઈ ભટ્ટ તેમજ માસ્ટર આર્ટિસન શામજીભાઈ વણકર દ્વારા તમામ કારીગરોનું અભિવાદન કરાયું હતું. વિન્ટર ફેસ્ટિવલના ચોથા દિવસે સંગીતકારોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા
જિલ્લા મથક ભુજના સર્વાંગી વિકાસ સાથે તેની આસપાસ આવેલા ગામડાઓમાં પણ ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને માધાપર જેવા ભુજના પ્રવેશદ્વાર સમાન વિસ્તારમાં વિકાસની ગતિ અત્યંત તેજ બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનના ભાવોમાં નોંધપાત્ર વધારો થતાં પ્રોપર્ટી માર્કેટમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આર્થિક લાભને ધ્યાનમાં રાખી માધાપરના મુખ્ય માર્ગો પર આવેલા મોટા ભાગના રહેણાંક મકાનો હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પરિવર્તિત થઈ રહ્યા છે. માધાપરના મુખ્ય માર્ગ પર જુનાવાસ અને નવાવાસ વિસ્તારમાં રોડને અડીને આવેલા મકાનો તોડી નાખી ત્યાં દુકાનો, ઓફિસો, શોરૂમ અને વ્યવસાયિક સંકુલો ઊભા કરવામાં આવ્યા છે. પોલીસ ચોકીથી લઈને ગાંધી સર્કલ સુધીના માર્ગની બંને બાજુ આજે 90 ટકા કરતાં વધુ મકાનો કોમર્શિયલ સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. જેથી મોટી સંખ્યામાં કર્મચારીઓ અહીં રોજગાર માટે આવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા દાયકામાં માધાપરની વસ્તી બમણીથી વધુ થઈ ગઈ છે. વસ્તી વધારો, વધતી આવક અને સારા વેપારની શક્યતાઓને કારણે કોમર્શિયલ કોમ્પ્લેક્સની સંખ્યા સતત વધી રહી છે. પરિણામે માધાપર વિસ્તાર મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર બનતો જઈ રહ્યો છે. જો કે, વિકાસની સાથે સાથે ટ્રાફિક, પાર્કિંગ અને આધારભૂત સુવિધાઓ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ છે. ભૂકંપ પ્રુફ બાંધકામના ધોરણ સચવાય છે કે નહીં ?ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ભુજમાં વ્યવસાયિક કે રહેણાક મંજુરી આપવામાં આવે છે. માધાપરના ગાંધી સર્કલ સુધીના વિસ્તારમાં ભાડાની હદ છે ત્યારબાદ બંને ગ્રામપંચાયતની હદ લાગુ પડે છેલ્લા બે દાયકામાં રોડ ટચ કરવામાં આવેલ બાંધકામમાં ભૂકંપ પ્રુફ બાંધકામના ધોરણ સચવાય છે કે નહીં તે પ્રશ્ન છે.
વેધર રિપોર્ટ:મહા મહિનાના બરફીલા પવનોએ કચ્છને ચોમેરથી ઘેરો ઘાલ્યો, નલિયા 5 ડિગ્રી ઠંડુગાર
કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. એક અઠવાડિયા સુધી ઠંડીમાં મળેલી આંશિક રાહત બાદ ફરી એકવાર લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા સમગ્ર પંથક શીતલહેરની લપેટમાં આવી ગયો છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાને કારણે અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની સીધી અસર કચ્છના હવામાન પર જોવા મળી રહી છે. શનિવારે દિવસ દરમિયાન પણ લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો અને તીવ્ર ઠંડા પવનોને કારણે લોકોએ સ્વેટર, જેકેટ અને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો. શુક્રવારે નલિયામાં લઘુતમ પારો 12 ડિગ્રીએ રહ્યા બાદ એક જ દિવસમાં 7 ડિગ્રી ઘટી ગયો હતો અને 5 ડિગ્રી ઠંડીના લીધે અબડાસા પંથક ફરી કાશ્મીરમાં ફેરાવયું હતું. જિલ્લા મથક ભુજમાં પણ પારો અંદાજે 5 ડિગ્રી ઘટી સિંગલ ડિજિટમાં પહોંચી ગયો છે. સમી સાંજથી જ ઠંડા પવનોનું જોર વધતા લોકોએ ઘરમાં રહેવાનું વધુ પસંદ કર્યું હતું, જેના કારણે બજારોમાં પણ વહેલી શાંતિ જોવા મળી હતી. શનિવારના તાપમાનના આંકડા પર નજર કરીએ તો, નલિયા 5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું હતું, જ્યારે ભુજમાં 9.8 ડિગ્રી, કંડલા પોર્ટ વિસ્તારમાં 12 ડિગ્રી અને કંડલા એરપોર્ટ મથકે 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કચ્છના મુખ્ય ચાર હવામાન મથકો પૈકી ત્રણ મથકોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૩ થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેનાથી લોકોને કામચલાઉ રાહત મળશે. જોકે, આ રાહત લાંબો સમય ટકશે નહીં, કારણ કે બે દિવસ બાદ ફરીથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આનો અર્થ એ છે કે કચ્છવાસીઓએ આગામી સમયમાં ઠંડીના વધુ એક આકરા રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે. સતત બદલાતા હવામાન અને તાપમાનમાં આવતા મોટા ઉતાર-ચઢાવને કારણે આરોગ્ય પર પણ વિપરીત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
સન્ડે બિગ સ્ટોરી:ટ્રેન આવાગમન સમયે રિંગરોડની મરંમત માથાનો દુખાવો
ભુજ રેલ્વે સ્ટેશનને એરપોર્ટ અને બસપોર્ટની જેમ આધુનિક સગવડોથી સજ્જ બનાવવા માટે છેલ્લા દોઢ વર્ષથી વિકાસકાર્ય ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થયા બાદ ભુજને એક નવું આધુનિક રેલ્વે પોર્ટ મળશે, પરંતુ હાલ ચાલી રહેલી કામગીરીના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ મુંબઈ, દિલ્હી સહિતની એક થી ચાર નંબરના પ્લેટફોર્મ વચ્ચે આવતી-જતી ટ્રેનો માટે કોચ સુધી પહોંચવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. મુસાફરોને ટ્રેન ઉપડે ત્યાં સુધી પોતાના સામાન સાથે લાંબો રસ્તો પસાર કરવો પડે છે. શુક્રવારે સાંજે રેલ્વે સ્ટેશનની રૂબરૂ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે ગંદા પાણીના ખાબોચિયાઓ મુસાફરોનું સ્વાગત કરતા હતા. સાથે જ ત્રિભેટે રિંગ રોડનું કામ ચાલુ હોવાથી જૂનો રસ્તો ભારે મશીનો દ્વારા તોડવામાં આવી રહ્યો છે, જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો અને મુસાફરો સામાન સાથે પસાર થઈ શકતા નહોતા. પ્લેટફોર્મ નંબર એક પર કામ ચાલુ હોવાથી હાલ ટ્રેનો પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પરથી આવ–જા કરે છે. જોકે લિફ્ટની સુવિધા કાયમી મળતી ન હોવાથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મુસાફરોને સીડી ચડીને પ્લેટફોર્મ સુધી જવું પડે છે. બહારનું પાર્કિંગ પણ 100 મીટર દૂર ખસેડવામાં આવતા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. મુંબઈ પ્રવાસ માટે આવેલા કચ્છના વતની ધીરજભાઈ શાહે જણાવ્યું કે વિકાસકાર્ય આવકાર્ય છે, પરંતુ ધોરીમાર્ગના કામ દરમિયાન જેમ ડાયવર્ઝન હોય તેમ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા હોવી જરૂરી છે. 80 વર્ષના વડીલને ટ્રેન સુધી પહોંચાડવી કેમ શક્ય બને તે પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો. અન્ય મુસાફર સવિતાબેન ચાવડાએ જણાવ્યું કે પ્લેટફોર્મ પર રેલ્વે કે આરપીએફનો કોઈ સ્ટાફ હાજર ન હોવાથી માર્ગદર્શન મળતું નથી. સ્થાનિક મુસાફરોનું માનવું છે કે નવી સુવિધાઓનો વિરોધ નથી, પરંતુ હાલ જે તકલીફો છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી છે, કારણ કે નવું રેલ્વે પોર્ટ બને ત્યાં સુધી રોજ હજારો મુસાફરો ભુજ સ્ટેશનનો ઉપયોગ કરે છે જે હાડમારી ભોગવે છે. આ અંગે રેલવે સ્ટેશન મેનેજર કે.કે. શર્માએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનની બહાર માર્ગનું કામ ચાલુ છે જે વાસ્તવમાં મુસાફરો માટે તકલીફરૂપ છે. જ્યારે અંદર પ્લેટફોર્મ ઉપર કઈ ટ્રેન ઉપડશે તેના દિશાસૂચક બોર્ડ લગાવવા માટે તાત્કાલિક નિર્ણય લેવાશે તેવું કહ્યું હતું. અડધા કલાકના અંતરે ભુજ–બાંદ્રા ટ્રેનના સમયે મુસાફરોની અફરાતફરીરેલવે વિભાગ દ્વારા મુંબઈ તરફ જતી કાયમી બે ટ્રેન ઉપરાંત હોલીડે સ્પેશિયલ બપોરે શરૂ કરી છે. એક 5:40 વાગે અને બીજી 6:00 વાગ્યે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ઉપરથી ઉપડે છે. બંનેના કોચ પર ભુજ બાંદ્રા ભુજ લખેલું હોવાથી ટ્રેન નંબર જો ખ્યાલ ન હોય અથવા એક ટ્રેન જોઈને કોચમાં બેસી જાય તો જે ટ્રેનમાં જવાનું હોય તે ડાયરેક્ટ મુંબઈ જવાને બદલે પાલનપુર થઈને જતી ટ્રેનમાં ચડી જતા મુશ્કેલી બની જાય. શુક્રવારે સાંજે અનેક પરિવારને ટ્રેન નંબર શોધતા જોવા મળ્યા. કોચ પર ટ્રેન નંબર પણ એટલા નાના હતા કે તે શોધવામાં જ ટ્રેન ઉપડી જાય. પ્લેટફોર્મ પર કોઈ માર્ગદર્શક ન હોવાથી આમથી તેમ અથડાતા હતા. આ બાબતે પણ રેલ્વે પ્રશાસનને કોઈ વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
બાઇક ચોર ઝડપાયો:ફતેગંજમાંથી બાઇક ચોરનાર પાણીગેટથી બાઇક સાથે ઝબ્બે
ફતેગંજ ખાતેથી સપ્ટેમ્બર મહિનામાં ચોરાયેલી બાઇકને ક્રાઈમ બ્રાન્ચે શનિવારે પાણીગેટ નજીકથી પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ જીઈબી ઓફિસ નજીકથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની બાઇક સાથે ગીરીશકુમાર ગોરધનભાઈ મોચી (રહે, ગીરીરાજનગર એપાર્ટમેન્ટ, બાજવા તળાવ)ને પકડી પાડ્યો હતો. ગીરીશકુમાર પાસેથી બાઇકના દસ્તાવેજ ન મળતાં પોલીસે બાઇક અંગે પૂછપરછ કરતા ગીરીશકુમારે જણાવ્યું હતું કે, બાઇક ફતેગંજ ભગીરથ સોયાયટી સામેથી ચોરી કરી હતી. આણંદ લીમડી ચોક ખાતે રહેતા રાહુલકુમાર અશ્વિન ઠાકોર હાલોલ સીએટ કંપનીમાં નોકરી કરે છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં બાઇક ફતેગંજ ભગીરથ સોસાયટી પાસે પાર્ક કરી હતી. ત્યારબાદ તે કંપનીની બસમાં બેસી નોકરીએ ગયા હતા. બીજા દિવસે પરત આવતા બાઇક જણાઈ આવી નહોતી.
અલગ અલગ વૈશ્વિક કારણોસર છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સવાર પડતા જ સોના-ચાંદીના ભાવ નવી ટોંચે પહોચી રહ્યા છે. સોના-ચાંદીની સાથે હવે અન્ય ધાતુના ભાવ પણ સળગવા લાગ્યા છે ત્યારે લોકોને તેમાં પણ રોકાણનો રસ પડ્યો છે. સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા તેની સૌથી મોટી અસર જ્વેલરી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ તો, અહીં લોકો ઓછા કેરેટના દાગીના માગતા થયા છે. જેના કારણે જ્વેલર્સ ગોલ્ડ પ્લેટેડ કોપર જ્વેલરી બનાવવા લાગ્યા છે. જે દેખાવમાં અસલ સોના જેવી લાગે છે અને ભાવમાં સસ્તી પડી રહી છે. અત્યાર સુધી લોકો કોપરની બોટલ, પાણીની ટાંકી કે વાસણો લેતા હતા. પરંતુ, હવે કોપરમાં રોકાણની તક દેખાતા બારમાં ખરીદી થવા લાગી છે. સુરતમાં જ દરરોજનું હજારો કિલો કોપર વેચાઈ રહ્યું છે. સોના-ચાંદીના ભાવ વધતા લોકો ગોલ્ડ પ્લેટેડ કોપર જ્વેલરી તરફ વળ્યાહાલમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે દાગીના ખરીદવા મુશ્કેલ બન્યા છે. આ પરિસ્થિતિમાં સુરતના જ્વેલરી માર્કેટમાં કોપરની જ્વેલરીની માંગમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને કોપર પર ગોલ્ડ પ્લેટિંગ કરેલા દાગીના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે તે દેખાવમાં અદ્દલ સોના જેવા લાગે છે અને તેની કિંમત પણ ઘણી ઓછી હોય છે. લગ્નસરાની સીઝનમાં હવે લોકો મોંઘા સોનાને બદલે બજેટમાં રહેતા કોપરના દાગીના વધુ પસંદ કરી રહ્યા છે. સુરતમાં તાંબાનું રેકોર્ડબ્રેક વેચાણ અને રોકાણસુરત હંમેશા નવીનતા માટે જાણીતું છે, હવે અહીંના લોકોએ તાંબાને રોકાણના એક મજબૂત વિકલ્પ તરીકે અપનાવ્યું છે.જે મધ્યમ વર્ગના લોકો સોનું કે ચાંદી ખરીદવામાં અસમર્થ છે તેઓ હવે ભવિષ્યના રોકાણ માટે તાંબાના બિસ્કિટ અને લગડી ખરીદવા તરફ વળ્યા છે. રોકાણકારો હવે પ્લેટિનમ અને કોપરને સુરક્ષિત એસેટ તરીકે જોઈ રહ્યા છે. તાંબાના સ્ટોરેજ અને ડિલિવરીમાં જોવા મળતી નવી પદ્ધતિસોના અને ચાંદીની સરખામણીએ તાંબું વજનમાં ઘણું ભારે અને કદમાં મોટું હોય છે.જેના કારણે તેની ભૌતિક જાળવણી એક પડકાર સમાન છે. જ્યારે ગ્રાહકો મોટી માત્રામાં તાંબાના બાર કે લગડીઓ ખરીદે છે. ત્યારે તેને ઘરે લઈ જઈને સુરક્ષિત રાખવાને બદલે જ્વેલર્સ પાસે જ સ્ટોર કરાવવાનું પસંદ કરે છે. આ પદ્ધતિથી ગ્રાહકોને સ્ટોરેજની ચિંતા રહેતી નથી અને જ્યારે ભાવ વધે ત્યારે તેઓ સરળતાથી તેનો નિકાલ કરી શકે છે. તાંબાની આ ઊંચી માંગે જ્વેલરી ઉદ્યોગમાં સંગ્રહ કરવાની નવી વ્યવસ્થા ઉભી કરી છે. સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થવાને કારણે હવે લોકોનો ઝુકાવ કોપર તરફ નોંધપાત્ર રીતે વધ્યો છે. સુરતના જ્વેલરી માર્કેટના જણાવ્યા અનુસાર, મધ્યમ વર્ગના ગ્રાહકો હવે સોનાના વિકલ્પ તરીકે કોપરના દાગીના વધુ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને કોપર પર ગોલ્ડ પ્લેટિંગ ચડાવેલા દાગીના દેખાવમાં અદ્દલ સોના જેવા જ લાગે છે અને કિંમતમાં પણ ઘણા પરવડે તેવા હોય છે, જેના કારણે બજારમાં તેની ભારે માંગ જોવા મળી રહી છે. સુરતમાં દરરોજ હજારો કિલો કોપર બારનું વેચાણ- દીપક ચોક્સીકોપર માત્ર દાગીના તરીકે જ નહીં પણ રોકાણ માટે પણ કોપર એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. સુરતના જ્વેલર્સ દીપક ચોકસીના જણાવ્યા મુજબ, માત્ર તેમની જ પાસે દરરોજ અંદાજે 2,000 થી 2,500 કિલો કોપરનું વેચાણ કે બુકિંગ થઈ રહ્યું છે. જે લોકો સોના કે ચાંદીના બિસ્કિટ ખરીદી શકતા નથી, તેઓ હવે કોપરના બિસ્કિટ કે લગડીમાં રોકાણ કરી રહ્યા છે. કોપર વજનમાં ભારે હોવાથી લોકો ઘણીવાર તેની ફિઝિકલ ડિલિવરી લેવાને બદલે જ્વેલર્સ પાસે જ રાખવાનું પસંદ કરે છે. આમ, વર્તમાન સમયમાં કોપર એ માત્ર એક ધાતુ મટીને સોના-ચાંદી જેવું જ લોકપ્રિય ઇન્વેસ્ટમેન્ટ સાધન બની રહ્યું છે. 2025માં સોના-ચાંદીના ભાવમાં રોકેટગતિએ થયેલો વધારો
અમદાવાદ શહેરની નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની 36 દિવસમાં જ બીજીવાર ધમકી મળતા સ્કૂલ સંચાલક, વાલીઓ અને પોલીસની ચિંતા વધી છે. કારણ કે, બોમ્બની ધમકી મળતા જ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે અને વાલીઓમાં પણ દોડધામ મચી જતી હોય છે. જો કે, આ પ્રકારની ધમકીઓની સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ પર થતી હોવાનું સામે આવ્યું છે. જાણીતા સાયકોલોજીસ્ટ પ્રશાંત ભીમાણીએ આ પ્રકારની ધમકીઓના કારણે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર થતી અસરને લઈ વાલીઓને ચેતવ્યા છે. સાથે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે શાળા સંચાલકોને કેટલીક ટીપ્સ પણ આપી છે. આ પ્રકારની ધમકીઓના કારણે કેવી અસર થાય છે તે જાણવા ભાસ્કરે વિદ્યાર્થી, વાલી, શાળા સંચાલક અને સાયકોલોજીસ્ટ સાથે વાતચીત કરી હતી. વારંવારની ધમકીના કારણે વાલી-સ્કૂલ સંચાલકો ચિંતિત બન્યાઅમદાવાદની સ્કૂલોને ગત મહિને બોમ્બ બ્લાસથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ 23 જાન્યુઆરીએ ફરી એકવાર ધમકી મળી હતી.શહેરની 15 સ્કૂલને ધમકી મળતા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું પરંતુ કઈ મળી આવ્યું નહોતું.ધમકી ભર્યા કોલ સતત વધી રહ્યા છે જેને લઈને વિધાર્થીઓના અભ્યાસ અને માનસિકતા પર પણ અસર પડી રહી છે.અત્યાર સુધી ત્રણ અલગ અલગ પેટર્નથી બોમ્બની ધમકી મળી ચૂકી છે જેને લઈને સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધમકીના કારણે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયનિયમ મુજબ સ્કૂલને બોમ્બની ધમકી મળતા સૌ પ્રથમ તમામ બાળકોને સલામત રીતે ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવે છે.સ્કૂલ દ્વારા જ પોલીસ અને DEO કચેરીને જાણ કરવામાં આવે છે જે બાદ વાલીઓને જાણ કરવામાં આવે છે.આ પ્રકારની ઘટનામાં સ્કૂલ કોઈ પણ વિદ્યાર્થીઓને જબરજસ્તી સ્કૂલમાં રોકી શકતી નથી. વાલી બાળકને ઘરે લઈ જવા ઈચ્છે તો તે લઈ જઈ શકે છે.સ્થિતિ સામાન્ય હોય તો બીજા દિવસથી નિયમિત સ્કૂલ ચાલુ હોવાની વાલીઓને જાણ કરવાનું હોય છે. બોમ્બ અંગે મેસેજ મળતા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે.સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ અને ટીમ સ્કુલે જઈને તમામને સલામત જગ્યાએ લઈ જઈને બિલ્ડિંગ ખાલી કરાવે છે.બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે રહીને સ્કૂલમાં તપાસ કરાવવામાં આવે છે. સ્કૂલમાં કઈ શંકાસ્પદ મળી આવે તો તેની પણ તપાસ કરવામાં આવે છે.સ્કૂલમાં સંપૂર્ણ તપાસ થયા બાદ જ થોડીવાર બાદ સ્કૂલમાં અવરજવર શરૂ કરાવવામાં આવે છે.સ્થાનિક પોલીસ દ્વારા ઇમેલ અંગેની માહિતી સાયબર ક્રાઈમમાં આપવામાં આવે છે.સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવે છે. DEO કચેરીને સ્કૂલમાં બોમ્બ અંગેની જાણ થતા DEO કચેરીના અધિકારી દ્વારા સ્કૂલની મુલાકાત લેવામાં આવે છે. સ્કૂલની સ્થિતિ અંગે DEOને જાણ કરવામાં આવે છે.DEO દ્વારા સ્કૂલનો રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગ ગાંધીનગરને મોકલવામાં આવે છે.DEO દ્વારા સ્કૂલને લેખિતમાં જ સૂચનો આપવામાં આવે છે. શિક્ષણ કાર્યની સાથે સાથે વિદ્યાર્થીઓની માનસિકતા પર અસરશાળાઓમાં વારંવાર બોમ્બની ધમકી મળતી હોવાના કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર થઈ રહી છે. શ્રી વિદ્યાનગર સ્કૂલના સંચાલક વિવેક કપાસીએ જણાવ્યું હતું કે, વારંવાર આ પ્રકારની ધમકીઓ મળવાને કારણે પેનિક સિચ્યુએશન ઊભી થઈ જતી હોય છે. કારણ કે વિદ્યાર્થીઓને ખબર હોતી નથી કે કેમ તેમને તરત જ કરે મોકલી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓના ભણતર પર પણ ઘણી અસર પડતી હોય છે. શાળામાં આવતાં સમયે તેમને અહીંયા ઘર જેવો માહોલ મળતો હોય છે. પરંતુ વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ થવાને કારણે ઘણી તકલીફ પડતી હોય છે. સ્કૂલ સેફટી નિયમના અનુસાર જેવો જ ધમકી ભર્યો મેઇલ મળે ત્યારે તરત જ વિદ્યાર્થીઓને તાત્કાલિક મેદાનમાં ભેગા કરી દેવામાં આવે છે. પોલીસને પણ તરત જ જાણ કરવામાં આવે છે. DEO ઓફિસને પણ જાણ કરવામાં આવતી હોય છે. જે બાદ તમામ વાલીઓને મેસેજ પહોંચાડીને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવે છે. શિક્ષકો પણ પેનિક થઈ જતા હોય છે. વધુમાં વિવેક કપાસીએ જણાવ્યું હતું કે, જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે એ પણ બાબતનું ધ્યાન રાખવું પડતું હોય છે કે કોઈ દોડાદોડી દરમિયાન બીજી કોઈ અકસ્માતનો બનાવ ન બની જાય. કારણ કે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનો વાલીઓને મેસેજ મળતા જ તમામ વાલીઓ એક સાથે શાળા પર પહોંચી જતા હોય છે. એક સાથે વાલીઓ શાળા પર આવી જવાના કારણે શાળાની બહાર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે બાબતનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. સ્વાભાવિક છે કે કોઈ વાલીનો બાળક શાળામાં ભણતો હોય અને આ પ્રકારનો મેસેજ મળે તો તેમનામાં ડર થતો હોય છે. તેમજ વાલીઓના ગ્રુપમાં પણ ચર્ચાનો વિષય બની જતો હોય છે. ખૂબ જ ટેન્શન વાળો માહોલ ઉભો થઈ જતો હોય છે. આવી ધમકીઓના કારણે બીજા દિવસે શાળાએ આવતા ડર લાગે છે- વિદ્યાર્થિનીવિદ્યાર્થીની તૃષા સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે ત્યારે બધા પેનિક થઈ જતા હોય છે. જે બાદ શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને એક મેદાનમાં ભેગા કરી દેવામાં આવે છે. જેથી મેસેજ મળ્યા બાદ વાલી પણ અમને તરત જ શાળાએ લેવા માટે આવી જતા હોય છે. પરંતુ અવારનવાર શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોવાથી તેની ખૂબ ખરાબ અસર થતી હોય છે. અમારી ફાઇનલ પરીક્ષા આવી રહી છે જેનો અભ્યાસ શાળામાં ચાલતો હોય છે તે પણ તૂટી જાય છે. અભ્યાસ બગડી જાય છે. માતા પિતા પણ અમને શાળાએ લેવા માટે આવી જાય છે ઘરે ગયા પછી અમને ખબર પડે છે કે આ અફવા છે. બીજા દિવસે શાળાએ આવતા સમયે પણ ડર લાગતો હોય છે. માતા પિતા પણ શાળાએ મોકલતા પહેલા ડર અનુભવતા હોય છે. અમારી ચિંતાના કારણે તે લોકોને પણ ડર લાગતો હોય છે, કે મારા છોકરાને કંઈ થઈ જશે તો? અમુક વિદ્યાર્થીઓ તો બીજા દિવસે શાળાએ પણ આવતા નથી. શાળામાં રજા આપી દેવાથી રિવિઝન પણ રહી જતું હોય છે જેના કારણે પરીક્ષામાં તેની અસર થતી હોય છે. અભ્યાસ દરમિયાન આ પ્રકારની ધમકી મળે તો કોઈને પણ ડર લાગતા હોય છે. ભયના વાતાવરણના કારણે બાળકો એન્ગઝાઈટીનો શિકાર થઈ શકે- પ્રશાંત ભીમાણીપ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું કે, જ્યારે ધમકી મળે ત્યારે ડર ઉભો થાય છે.નાના બાળકોને ખબર નથી પડતી કે કેમ નીકળી જવાનું.બાળકોમાં ભયનું વાતાવરણ રહેવાને કારણે ભવિષ્યમાં એન્ગઝાઈટી,ફીયર ,ઇન્સિકયુરિટી થઈ શકે છે.સાથે સાથે સ્કૂલે ન જવાનું વર્તન આવે છે.માં બાપ પણ સતત ચિંતામાં રહે છે.માબાપને પણ એન્ગઝાઈટી થઈ શકે છે.બાળક ચીડિયો થઈ શકે, ભણવામાં રસ ઓછો થઈ શકે,સૂઈ ન શકે. વાલીઓએ સંચાલકો સાથે મળીને મોકડ્રીલ નિયમિત કરવી જોઈએ.અફવા કે પેનિકમાં આવ્યા વિના શીખવું જોઈએ.ભૂકંપ બાદ જેમ કર્યું હતું તેમ ડીલ કરવું જોઈએ.બાળકોને ખોટી વાત વિશે સમજાવવું,અજાણી વસ્તુઓને અડકવું નહીં.બાળકોને વાર્તા કહીને આ પ્રકારનો ડર દૂર કરવો જોઈએ.રમત તરફ વળવા મેડિટેશન કરાવી શકાય છે.જરૂર પડે તો કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.જરૂર પડે તો થોડા આધાર માટે કાઉન્સેલિંગ કરાવવાથી મનોબળ મજબૂત બનાવવું જોઈએ.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ઘેરી બની રહી છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા નારોલ-નરોડા હાઈવે પર સર્વિસ રોડ પર થયેલા આડેધડ દબાણો અને ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસની ગેરહાજરીના કારણે દરરોજ ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી આ વિસ્તારની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરતા રસ્તા પર ઠેર ઠેર દબાણો જોવા મળ્યા હતા. જ્યારે આ દબાણો દૂર કરવા માટે અને ટ્રાફિક નિયંત્રણ માટે AMC અને પોલીસનો સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો. 2 લાખથી વધુ વાહનચાલકો ટ્રાફિક સમસ્યાથી પરેશાનશહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા રોજના બે લાખથી વધારે વાહનો પસાર થતા હોય એવા નારોલ- નરોડા હાઇવે ઉપર દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોવા મળ્યું હતું કે, નારોલથી લઈને સીટીએમ ચાર રસ્તા સુધી રોડની બંને તરફ આવેલા સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર રીતે લારીઓના દબાણ શાકમાર્કેટ અને અન્ય પાથરણા વાળાઓ જોવા મળ્યા હતા. કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય કે દુકાનો હોય તેના વાહનો સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલા હતા. સીટીએમ એક્સપ્રેસવે પાસે દિવસ દરમિયાન પણ લક્ઝરી બસો જોવા મળી હતી. સીટીએમ પોલીસ ચોકી પાસે ટ્રાફિકનો નિયમ પાલન કરનાર લોકોને પકડવા પોલીસ ઉભી રહી ગઈ હતી પરંતુ મોટાભાગના ચાર રસ્તા, ટ્રાફિક હતો અને બ્રિજ પાસે બસ સ્ટેન્ડ નજીક લક્ઝરી બસો અને ખાનગી ગાડીઓ વાળા ઊભા રહે છે ત્યાં ટ્રાફિક પોલીસ ગેરહાજર જોવા મળી હતી. ભાસ્કર રિપોર્ટરે કયા વિસ્તારમાં શું જોયું?સૌપ્રથમ નરોડા પાટિયા ચાર રસ્તા પાસે જ ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા જોવા મળી હતી ઠેર ઠેર રીક્ષાચાલકો ગમે તેમ ઊભા રહી ગયા હતા અને લક્ઝરી બસ ચાલક પણ દિવસ દરમિયાન ત્યાંથી પસાર કરી પેસેન્જર ભરવા માટે ઉભા રહી ગયા હતા ત્યાંથી કૃષ્ણનગર તરફ આગળ જતા સર્વિસ રોડની બંને બાજુ લારીઓનું દબાણ જોવા મળ્યું હતું. શાક માર્કેટ સર્વિસ રોડ ઉપર જ ભરાતી હોય તેની લારીઓ જોવા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરેલા ખોદકામના કારણે સર્વિસ રોડ યોગ્ય જોવા મળ્યો નહોતો. કૃષ્ણનગરથી હીરાવાડી તરફ જવાના રોડ સુધી બંને તરફ સર્વિસ રોડ પર વાહનો પાર્ક કરેલા હતા અને ક્યાંક લારીઓનું દબાણ હતું. બાપુનગર લીલા નગર બ્રિજ ઉતરતાની સાથે જ સર્વિસ રોડ ઉપર કપડાના વેચાણના પાથરણાઓ અને વાહનોથી રોડ ભરેલો જોવા મળ્યો હતો જ્યારે ઠક્કરબાપા નગર ચાર રસ્તા ઉપર પણ વાહનોનું પાર્કિંગ અને લારીઓનું દબાણ જોવા મળ્યું હતું ઠક્કરબાપા નગર બ્રિજથી વિરાટનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનની ઓફિસ તરફ થઈને રબારી કોલોની ચાર રસ્તા પાસે પણ સર્વિસ રોડ ઉપર પાર્કિંગ અને દબાણ જોવા મળ્યું હતું. વન્ડર પોઈન્ટ ચાર રસ્તા પર ટ્રાફિક જામરબારી કોલોનીથી સીટીએમ તરફ જતા વન્ડર પોઇન્ટ ચાર રસ્તા ઉપર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી કોઈપણ ટ્રાફિક પોલીસ કર્મચારી રબારી કોલોની કે વન્ડર પોઇન્ટ ચાર રસ્તા ઉપર જોવા મળ્યો નહોતો ત્યાં બપોરના સમયે સ્કૂલ છૂટવાનો સમય અને લોકોની અવરજવર ખૂબ જ હતી જેના કારણે થઈ અને ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો રોજના ત્યાંથી અનેક વાહન ચાલકો પસાર થાય છે છતાં પણ ટ્રાફિક પોલીસ ત્યાં હાજર નહોતી. 112 નંબરની પોલીસની ગાડી પણ ત્યાં હતી અને પોલીસ પોતે ગાડી લઈને નીકળ્યા તે છતાં પણ તેમણે ટ્રાફિક દૂર કરાવ્યો નહીં અને સ્થાનિક લોકોએ ત્યાંથી ટ્રાફિક દૂર કરવો પડ્યો હતો. બીજી તરફ દિવસ દરમિયાન લક્ઝરી બસોને પ્રવેશ ન હોવા છતાં પણ સીટીએમ વન્ડર પોઇન્ટ ચાર રસ્તા પાસે લક્ઝરી બસ એક પસાર થઈ હતી. એક બાઈક ચાલક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લક્ઝરી બસના ચાલકે તેને ટક્કર મારી હતી જેથી તે પડી ગયો હતો.જોકે સદનસીબે સહેજ માટે બચી ગયો હતો. લક્ઝરી બસના ચાલક સાથે ઝઘડો પણ કર્યો હતો. સીટીએમ ઓવરબ્રિજ પાસે ટ્રાફિક પોલીસ ચોકી આવી છે એની આગળના ભાગે ટીઆરપી જવાન અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વાહન ચાલકને પકડવા માટે ઉભા રહી ગયા હતા જોકે તેનાથી 50 મીટર આગળ જ બ્રિજની નીચેના ભાગે ટ્રાફિક જોવા મળ્યો હતો ત્યાં ટ્રાફિકમાં લોકો ફસાયા હતા પરંતુ આ પોલીસ કર્મચારીઓ લોકોને પકડીને દંડ આપવામાં વ્યસ્ત રહ્યા હતા પરંતુ ટ્રાફિક દૂર કરાવ્યો ન હતો. સીટીએમ પાસે બસોના કારણે ટ્રાફિક સમસ્યાસીટીએમ ઓવર બ્રિજથી આગળ એક્સપ્રેસ- વેથી દક્ષિણ ગુજરાત તરફ જવા માટે એસટી બસ સ્ટેન્ડ આવેલું છે જે એસટી બસ સ્ટેન્ડ પાસે મોટી સંખ્યામાં મુસાફરો ઉભા હતા. એક્સપ્રેસવે ચાર રસ્તા પહેલા એસ.ટી બસ સ્ટેન્ડ પર લક્ઝરી બસો જોવા મળી હતી દિવસ દરમિયાન લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશ નથી છતાં પણ શહેરમાંથી પ્રવેશ કરી લક્ઝરી બસો સીટીએમ ખાતે આવતી હોય છે ત્યાં કોઈપણ ટ્રાફિક પોલીસ હાજર જોવા મળ્યો નહોતો માત્ર લક્ઝરી બસો જ નહીં પરંતુ ખાનગી ગાડીઓ વાળા પણ હાજર હોય છે જેના કારણે થઈને ટ્રાફિક સમસ્યા થાય છે. સીટીએમ એક્સપ્રેસ વે ચાર રસ્તા પાસે લક્ઝરી બસોના કારણે પણ ટ્રાફિક થતી હોવાની અવારનવાર ફરિયાદો સામે આવી છે પરંતુ ટ્રાફિક પોલીસને ત્યાં ટ્રાફિક દૂર કરવામાં રસ નથી. સીટીએમ એક્સપ્રેસ વે પાસે લારીઓના દબાણ અને ગેરકાયદેસર રીતે રોડ ઉપર પાર્કિંગ કરેલું હોય છે જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવાની હોય છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 15 દિવસ પહેલા જે રીતે દિવસ રાત ટ્રાફિકની સમસ્યાને લઈને ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને કામગીરી કરવામાં આવી હતી તે હવે ક્યાંય પણ જોવા મળી નથી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર અને પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની દબાણની ગાડીઓ કે ટ્રાફિક પોલીસ જોવા ન મળતા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં તંત્રને રસ નથી માત્ર લોકોને પકડીને દંડ કરવા અને હપ્તા લેવામાં રસ છે. નારોલ- નરોડા હાઇવે પર નરોડાથી સીટીએમ એક્સપ્રેસવે સુધી ખૂબ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે બંને તરફના સર્વિસ રોડ ખુલ્લા હોવા જોઈએ અને લારીઓ તેમજ ગેરકાયદેસર દબાણો ન હોવા જોઈએ છતાં પણ આવા દબાણો જોવા મળી રહ્યા છે. સીટીએમ એક્સપ્રેસવે પાસે એસટી બસ સ્ટેન્ડ પર એસટી બસ સિવાય લક્ઝરી બસો અને ખાનગી ગાડીઓ દ્વારા પેસેન્જરો ભરવામાં આવતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ક્રિય કામગીરી જોવા મળી રહી છે. લક્ઝરી બસોના દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ શા માટે સીટીએમ ખાતે લક્ઝરી બસો દિવસ દરમિયાન જી, એચ અને આઈ ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ લક્ઝરી બસો દિવસ દરમિયાન નરોડાથી લઈ નારોલ રોડ ઉપર જોવા મળે છે. રેગ્યુલર ડ્રાઈવ થાય છે તો પછી રસ્તા પર દબાણ કેમ?ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે નારોલ - નરોડા હાઇવે ઉપર અમારા ઝોનમાં જેટલો વિસ્તાર આવે છે તેમાં અમે ડ્રાઈવ કરતા હોઈએ છીએ અને રેગ્યુલર કામગીરી થતી હોય છે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી અને કામગીરી કરીએ છીએ. જો ટ્રાફિક પોલીસ સાથે નથી આવતી તો કોર્પોરેશનની ટીમ દ્વારા રોડ પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે જ છે. જ્યારે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ અઠવાડિયામાં ડ્રાઇવ કરે છે. સીટીએમ પાસે ટ્રાફિકની સમસ્યા રહે છે. જેના માટે દબાણની ગાડી હાજર હોય છે. લક્ઝરી બસોનું વધારે પ્રમાણમાં ન્યુસન્સ છે. આગામી દિવસોમાં ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ સાથે આ વિસ્તારમાં રાઉન્ડ લઈ ટ્રાફિકની સમસ્યા દૂર કરાશે.
ભુજથી ચોબારી ગામ બરાબર 100 કિલોમીટર દૂર થાય. ચોબારી આમ તો ભચાઉ તાલુકાનું ગામ છે. ભચાઉથી માત્ર 31 કિલોમીટરનું અંતર છે. ચોબારી ગામ કચ્છનું છેવાડાનું ગામ કહી શકાય. ચોબારીથી કચ્છના સુકા પવન પૂરા થાય ને ચોબારી પછી ભીના પવન શરૂ થાય. કચ્છના ઈતિહાસમાં ચોબારીનું મહત્વ ઘણું. 400 વર્ષ પહેલાંના ધિંગાણા પછી 752 પાળિયા આજેય ઊભા છે. પણ 26 જાન્યુઆરી 2001ના ધરતીકંપે ચોબારીને કચ્છના ઈતિહાસમાં જ નહિ, વિશ્વના ઈતિહાસમાં અંકિત કરી દીધું. જી હા, આ એ જ ચોબારી છે જ્યાં 2001ના પ્રજાસત્તાક દિવસની સવારે 8:46 વાગ્યે ધરતી ધણધણી ઉઠી હતી. ચોબારી એટલે મોટા ભૂકંપનું કેન્દ્રબિંદુ. ભયાનક ભૂકંપને 25 વર્ષ પૂરાં થઈ રહ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કરની ખાસ સિરિઝ ‘ભૂકંપ @25’ ચાલી રહી છે. તેના ભાગરૂપે ભાસ્કરની ટીમ ચોબારી ગામ પહોંચી હતી. કેન્દ્રબિંદુ હોવાના કારણે અહિના લોકોએ જે ભૂંકપનો અનુભવ કર્યો હતો, તે ખતરનાક હતો. 25 વર્ષ પહેલાંના અનુભવો જાણવા અમે ચોબારીના લોકોને મળ્યા. ગામના લોકોએ શું કહ્યું, કેવો અનુભવ હતો, તે વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં… અમે ચોબારી પહોંચ્યા તો એવા લોકો અમને મળ્યા, જેના મનમાંથી કે જીવનમાંથી ભૂકંપ ગયો નથી, જવાનો પણ નથી. એ વખતના લોકોને દરેક દ્રશ્યો યાદ છે, ભૂકંપની ભયાવહતા યાદ છે. સૌથી પહેલાં અમે શિવમંદિરના પૂજારી ગોસ્વામી ભાણગર બાવાજીને મળ્યા. તે કહે છે કે એ સમયે માહોલ ઘણો ગમગીન હતો. પરિસ્થિતિ બહુ વિકટ હતી. પચ્ચીસ વર્ષ થયા પણ યાદ કરતાં શરીરમાં કંપન છૂટે છે. ત્યારે મારી ઉંમર નાની હતી. પણ સરપંચ અને ગામ આગેવાન વાત કરતા હતા કે, ભૂકંપ પછીની દિવાળી મનાવવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હતા. ત્યારે એમને જોવાનો હરખ હતો. મેં વિચાર્યું કે નરેન્દ્રભાઈને જોવાનો મોકો મળશે. ચોબારીમાં સભા ભરી ત્યારે ભરચક્ક મેદની હતી. વડીલો, આગેવાનો મહિલાઓ, બાળકો યુવાનો એમ ઘણા લોકો સભામાં હાજર હતા. આખું પરિસર માણસોથી ભરાઇ ગયું હતું. એ વખતે એમણે લોકોને સાંત્વના આપી હતી. લોકોને હૈયાધારણ આપતાં કહ્યું હતું કે તમારી પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર લાવવા એ અભ્યાસ કરીશું અને નવું ડેવલપમેન્ટ કરીશ. આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી ને વિકાસના પંથે લઈ જઈશ. મોદીજી અહીંથી ગામના અમુક વિસ્તારોમાં પણ ગયા હતા. ગામમાં અમુક લોકોને ત્યાં જમ્યા હતા. એમની સાથે વાતચીત કરી હતી. એ પછી અમે ચોબારીના જ નાગરિક વેલજીભાઈ મેરિયાને મળ્યા. વેલજીભાઈને અમે પૂછ્યું કે, 25 વર્ષ પહેલાં ભૂકંપ આવ્યો ત્યારે તમારા પરિવારમાં શું થયું હતું? જવાબમાં વેલજીભાઈ કહે છે, અમારા પરિવારમાં સાત લોકો હતા. ચાર ભાઈ-બહેન, મમ્મી, દાદી કાકા, મારી પત્ની અને છ મહિનાની દીકરી હતી. ત્યારે ઘરમાં મારી પત્ની, નાની દીકરી, મમ્મી અને દાદી હતાં. હું બહાર હતો. મારા ત્રણ ભાઈ-બહેન ખેતરે ગયા હતા. હું જ્યારે પાછો આવ્યો ત્યારે ઘર આખું ધ્વસ્ત થઈ ગયું હતું. મકાન જેવુ કંઈ દેખાતું જ નહોતું. આખી જમીન જેવું થઈ ગયું હતું. હું અહિયાં આવ્યો ત્યારે બધા અંદર દબાયેલા જ હતા. થોડીવાર તો કઈ સૂઝ્યું જ નહીં કે શું કરવું. દબાયેલા બધાને બહાર કાઢ્યા. આસપાસમાંથી લોકો આવ્યા. બધાએ સાથે મળીને કાઢવાની કોશિશ કરી. મારા મમ્મીને માથામાં લાગ્યું હતું. મારી પત્નીને પણ માથામાં લાગ્યું હતું. દીકરી ઘોડિયાંમાં હતી. એ એમાં જ દબાઈ ગઈ હતી. મારા દાદીમા પણ દબાઈ ગયાં હતાં. મારા ઘરમાંથી બે વ્યક્તિનાં મોત થયાં હતાં. મારી છ મહિનાની દીકરી એટલે પરિવારનું સૌથી નાનું સભ્ય અને મારાં દાદી એટલે પરિવારના સૌથી મોટા સભ્ય ચાલ્યા ગયા. જ્યારે આખા ફળિયામાંથી 54 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા. હવે દર 26 જાન્યુઆરીએ એ યાદ આવે કે મારી દીકરી હયાત હોત તો અત્યારે તેના પણ લગ્ન થઈ ગયા હોત. તેનો પણ પરિવાર હોત. દાદીમાની પણ યાદ તો આવે જ. એમને પણ આજે 25 વર્ષ થઈ ગયા. દીકરી માટે સપનાં તો ઘણા હતા પણ કુદરતની મરજી આગળ આપણું કાંઈ ન ચાલે. અત્યારે મારા બે દીકરા અને એક દીકરી છે. એક દીકરાના લગ્ન થઈ ગયા છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનીને ગામમાં આવ્યા ત્યારે ગ્રામજનો સાથે વાત કરી હતી. ભાસ્કરે એમાંના એક મહિલા મજીબેન સાથે વાત કરી. મજીબેને કહ્યું કે બધું પડી ગયું હતું. કંઈ બચ્યું નહોતું. ચોબારીમાં મોદી મળવા આવ્યા ત્યારે અમે છાપરાંમાં બેઠા હતા. અમે મોદીને કહ્યું કે કંઈ સહાય આપજો. અમે પગે પડીને બે વાત કરી. એમણે કહ્યું કે બધું સારું કરી દઇશું. એ ફોટામાં મારી સાથે બીજી મહિલાઓ હતી. એ બધી રામના ઘરે સિધાવી ગઈ. હું એક જ રહી. એ પછી તો મોદીએ અમને ઘર બનાવીને આપ્યા. મજીબેન કહે છે કે ભૂકંપ આવ્યો એ દિવસે અમે ઘરે હતા. કાચા મકાન હતા. અમે પણ દટાઈ ગયા હતા. પણ અમારી ઉપર બાજરીના ઢગ હતા એટલે બચી ગયા. પણ પગમાં ઘણું વાગ્યું હતું. પગ તૂટી ગયો હતો. એમાં ટાંકા આવ્યા હતા. બીજા ગયા એ ગયા. પ્રભુને પ્યારા થઈ ગયા. એ પછી અમે રામજી બાપાની વાડીએ જતાં રહ્યા હતા. ત્યારે અમને સહાય ખૂબ આપી હતી. છાપરા બનાવીને રહ્યા હતા. પછી ફરી મકાન બનાવીને અમે અહિયાં રહેવા આવ્યા. મારા જેઠનો એકનો એક દીકરો પણ ભૂકંપમાં જતો રહ્યો. અહીંથી અમે લાલજીભાઈ ઠક્કરને મળવા માટે રવાના થયા. ભાસ્કરની ટીમને વાતવાતમાં એ જાણવા મળ્યું કે, આજની તારીખે પણ ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે અને લોડાઈ ગામને ભૂકંપનું એપીસેન્ટર ગણે છે. જોકે એની પાછળની ઘટના એવી છે કે ભુજ એ કચ્છનું મુખ્ય સેન્ટર છે. લોડાઈ ગામ ભુજની નજીક આવેલું હતું. એટલે શરૂઆતના ઘણા દિવસો સુધી બધા લોડાઈ ગામને જ એપીસેન્ટર ગણતાં હતા. પરંતુ પછી અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની ટીમો આવી ત્યારે સાબિત થયું કે એપીસેન્ટર લોડાઈ નહીં પરંતુ ભચાઉ તાલુકાનું ચોબારી ગામ હતું. ગામના લોકો પાસેથી આવી વાતો જાણતાં જાણતાં અમે લાલજીભાઈ ઠક્કરને ત્યાં પહોંચ્યા. લાલજીભાઈ 26 જાન્યુઆરી, 2001ના દિવસને વાળોગતાં કહે છે કે ભૂકંપ આવ્યો એ દિવસે અમે મુંબઈ હતા. મારા મમ્મી, કાકા અને બહેન અહિયાં ચોબારીમાં હતા. અમને મુંબઇમાં બીજા દિવસે ખબર પડી કે આવી ઘટના બની છે. ત્યારે હ્રદય હચમચી ઉઠ્યું. મારા પપ્પા મુંબઈથી કચ્છ આવવા માટે નીકળી ગયા. બે ત્રણ દિવસે ભચાઉ પહોંચ્યા હતા. ત્યાંથી ચોબારી ગયા હતા. લાલજીભાઈ હાથેથી ઈશારો કરીને બતાવે છે કે જુઓ, આપણે ઊભા છીએ ત્યાં એક સમયે ભરચક બજાર હતી. અત્યારે મેદાન છે. બજારનું અસ્તિત્વ મટી ગયું. હવે અહિયાં જૂના મંદિર જ છે. લાલજીભાઈના પિતા વિનોદભાઈ ઉર્ફે બબાભાઈ પણ હાજર હતા. તે કહે છે કે હું મુંબઈથી અહી આવ્યો પછી ખબર પડી કે મારો ભાઈ અને પત્ની બંને ભૂકંપમાં મૃત્યુ પામ્યા છે. મારી પત્ની અહિયાં આટલામાં જ મૃત્યુ પામી હતી. આ બાજુ બધી દુકાનો એની પાછળ મકાન હતા. બધે કાટમાળના ઢગલા થઈ ગયા હતા. બજારમાં મારી દુકાન હતી. મારો ભાઈ એ જ દુકાન નીચે દબાઈ ગયો હતો. ભૂકંપ આવ્યો એ પછી અમે બધા ચોબારીની બહાર જ નીકળી ગયા. એ પછી અહિયાં કંઈ ન બનાવ્યું. ચોબારીમાંથી નીકળી ગયા છતાં બધું યાદ તો આવે જ. ઘર હતું, દુકાન હતી. અમે ચોબારીથી દૂર રહીએ છીએ પણ ચોબારીમાં અમારા દેવ સ્થાને પગે લાગવા આવીએ છીએ. લાલજીભાઈને મળીને અમે ચોબારી ગામના રામજી મંદિરના પૂજારી હરિરામને મળ્યા. પૂજારી કહે છે કે ભૂકંપ આવ્યો ત્યારે મંદિર થોડું ખંડિત થયું હતું. એ એમને એમ ઊભું હતું પણ અંદર ભગવાનનું સિંહાસન ફરી ગયું હતું. બજારની વચ્ચો વચ્ચ મંદિર હતું. બજારનું અસ્તિત્વ નથી રહ્યું પણ મંદિર ઊભું છે. અને મંદિરની બાજુમાં જ મેઇન બજાર હતી. બંને બાજુ દુકાનો હતી. એ સમયે એક મંદિર સિવાય બાકી બધુ પડી ગયું હતું. કંઈ જ નહોતું બચ્યું. પછી અહિયાંથી કાટમાળ હટાવ્યો નહોતો. અમુક લોકોના સ્વજન મળતા નહોતા. કોઈ અંદર રહી ગયું હોય તો એટલે કોઈએ અહિયાં ફરીથી બાંધકામ ન કર્યું. બધા બહારની તરફ રહેવા જતા રહ્યા. અમને શિવગરભાઈ બાવાજી મળ્યા. શિવગરભાઈએ કહ્યું કે, ભૂકંપના છ મહિના પછી અમારી હોટેલના કાટમાળમાંથી લાશો મળી હતી. એક મારો ભત્રીજો હતો અને બીજો એક સબંધીનો સાળો હતો. એમની અહિયાં હોટલ હતી. ત્યારે કાટમાળ જ એટલો બધો હતો કે કંઈ ખબર જ નહોતી કે કાટમાળની નીચે પણ કોઈ છે. પછી આસ્તે આસ્તે ખબર પડી. જ્યારે કાટમાળ સાફ થવા લાગ્યો ત્યારે એ બંનેની લાશ નીકળી. કપડાં પરથી એ બંને ઓળખાયા. છ મહિના સુધી એમને શોધતા હતા પણ નક્કી નહોતું થતું કે કયાં છે? જ્યારે લાશ મળી ત્યારે હાડપિંજર જ હતું. અમારે હવે ભચુભાઈ આહિરને મળવાનું હતું. પણ તેમને મળવા ગયા તે પહેલાં ચોબારી ગામ વિશે વાત જાણવા મળી. હકીકતે અહિયાં એક પુરાતન વાવ છે. સામાન્ય રીતે વાવમાં ઉતરવા માટે એક દિશામાં પગથિયાં હોય ને ચારેય બાજુ દીવાલ હોય. પણ અહીં જે વાવ છે તેનો વચ્ચેનો પાણીનો ભાગ નાનો છે. ચારેય દિશામાંથી ઉતરવા માટે પગથિયાં બનાવાયા છે. પગથિયાંનો ભાગ સાંકડો હોવાથી તેને વાવમાં ઉતરવાની બારી કહે છે. ચાર બારી હોવાથી ગામનું નામ ચોબારી પડ્યું હોવાનું મનાય છે. આમ તો આ વાવને ‘પાંડવી વાવ’ અથવા ચોમુખી ધામની વાવ કહે છે. અમે એ વખતના ભૂકંપના સાક્ષી એવા ભચુભાઈ આહિરને મળ્યા. ભચુભાઈએ કહ્યું કે એવો જબરો ભૂકંપ હતો કે ચોબારીની સ્કૂલના બાળકો દટાઈ ગયા હતા. બાળકો ઉપર પાછળથી દીવાલ પડી ને એમાં દટાઈ ગયા. ગામમાંથી કમસેકમ 140 લાશ મેં કાઢી હતી. રેતી, માટી, ઈંટ, બેલાંના કાટમાળ પડ્યા હતા. પણ ભગવાને એ વખતે શક્તિ આપી કે એક પિલરને ફક્ત ત્રણ જણા ભેગા થઈને ઊભો કરી શકતા હતા. બાકી આપણાથી દસ વીસ કિલો વજન પણ ન ઉપડે. મારા બે સગા ભાણેજ પણ ભૂકંપમાં મૃત્યુ પામ્યા હતા. એ અમને 14 દિવસ પછી કાટમાળમાંથી મળ્યા હતા. કાટમાળ ઊપડતાં ઉપાડતાં વાર લાગી. પછી એમને શોધવામાં પણ વાર લાગી. એમના ચહેરા ઓળખતા નહોતા. પછી કપડાં પરથી ઓળખાયા કે આ મારા ભાણેજ છે. ભચુભાઈ વાત આગળ વધારતાં કહે છે કે, અમારે કરિયાણાની દુકાન હતી. દુકાનમાં ભગવાનને અમે પ્રસાદ ધરતા. અમારી સામે એક સ્કૂલ હતી. સ્કૂલના એક સાહેબ અમારી પાસે પ્રસાદ લેવા આવ્યા હતા. એમને મેં કહ્યું કે હમણાં તમે જાઓ. હું આપવા આવું છું. એ સ્કૂલમાં ગયા બાદ મારા નાનાભાઈ પ્રસાદ માટે મીઠાઇ કાઢતા હતા ત્યાં પ્રચંડ અવાજ આવ્યો. બધું હલવા લાગ્યું. મેં ભાઈને કહ્યું તમે બધા બહાર નીકળી જાઓ. ત્યારે રામાભાઇ નામના કાકા હતા. એ બોલ્યા કે પાકિસ્તાનવાળા તોપમારો કરે છે. મેં કહ્યું આ તોપ નથી... આ ધરતીકંપ છે. ભગવાનનું નામ લો. મારી દુકાનની પાછળ ગોડાઉન હતું. ત્યાં મારી પત્ની પણ હતી. એ પણ એમાં દબાઈ ગઈ હતી. ડીઝલ ભરવાના બેરલમાં તેનું માથું ફસાઈ ગયું હતું. એના બે હાથ ભાંગી ગયા હતા. પછી એમના હાથનો મિલિટરીના કેમ્પમાં ઈલાજ કરાવ્યો. પહેલા અહિયાં જ ગામ હતું. હવે લોકો અલગ અલગ જગ્યાએ કેટલાક એરિયામાં વહેંચાઈ ગયા છે. ભૂકંપ પહેલા અહિયાં પોલીસ સ્ટેશન - આઉટ પોસ્ટ હતું. પણ ભુકંપ પછી જમીન પરથી ને કાગળ પરથી ગાયબ થઈ ગયું છે. હવે પોલીસ સ્ટેશન મંજૂર થયું છે પણ હજી સુધી કાગળ પર છે. પંચાયત ઘર જે રીતે હોવું જોઈએ એવું નથી. માત્ર એક નાનકડું ઘર છે. બે મિનિટના ધરતીકંપે ચોબારીનો ઈતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા. ભૂકંપનું અનુમાન, પ્રિડિક્શન થઈ શકે નહિ; ડો. દેવાંશુ પંડિત આ તો થઈ ચોબારીની વાત… અમે સેપ્ટના સ્ટ્રક્ચરલ એન્જિનીયર અને સહાયક પ્રોફેસર ડો. દેવાંશુ પંડિત સાથે વાતચીત કરી. તેમણે એ વખતે ટેકનિકલી શું બન્યું હતું, તેમનો સંશોધનનો અનુભવ કેવો કહ્યો તેના વિશે વાત કરી. સેપ્ટ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં સહાયક પ્રોફેસર ડૉ. દેવાંશુ પંડિતે દિવ્ય ભાસ્કરને કહ્યું, 2001માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો તેના બીજા જ દિવસે સરકારી પ્રસાશનની સાથે સાથે સેપ્ટના સ્ટ્રક્ચરલ એન્જિનિયર પણ કાર્યરત થઈ ગયા હતા. એ સમયે એ ટીમનો હું એક ભાગ હતો. ઘટનાના બીજા જ દિવસે એક જોઈન્ટ મિટિંગ થઈ હતી. આ દરમિયાન ઔડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવી વાત આવી કે, હાલની પરિસ્થિતિ એવી છે કે, કેટલાક બિલ્ડિંગ સેફ દેખાઈ રહ્યાં હતા પણ તેમાં જવાથી લોકો ડરતાં હતા. રાત્રે લોકો કારમાં અને ટેન્ટો બનાવીને રહેવાનું શરૂ કર્યું હતું. આવી પરિસ્થિતિમાં દેશ અને વિદેશના એક્સપર્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ એક્સપર્ટ અને સેપ્ટે સાથે મળીને ડેમેજ એસેસમેન્ટ મેથેડોલોજી ડેવલપ કરી હતી. સિનિયર પ્રોફેસર આર. જે. શાહે બધાને ટ્રેનિંગ આપી હતી. એ પછી ટીમો બનાવીને બિલ્ડીંગનું નિરિક્ષણ કરવામાં આવતું હતું. જેમાં અમે બિલ્ડીંગને G-0 થી G-5 સુધીની કેટેગરીમાં ડિવાઈડ કરી હતી. આ કામગીરી અમે લગભગ દોઢ થી બે મહિના સુધી કરી હતી, આ મોડલ એટલું સફળ રહ્યું કે તેને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું હતું. જેના આધારે પોલિસી ડિસિશન્સ થયા હતા. ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, 2001માં જે ભૂકંપ આવ્યો હતો ત્યારે જમીનની સંરચનામાં જે સર્ટન ફોલ્ટ હતો એ હિડન હતો. જે બહાર આવી ગયો હતો. એના વિશે આપણે એટલું બધું જાણતા નહોતા, પણ તે ખૂબ જ એક્ટિવ છે તેવી ખબર પડી હતી. આજ કારણોસર કેટલીક જગ્યાએ ગ્રાઉન્ડનું લેવલ વધી ગયું હતું. જ્યાં રણ વિસ્તાર આવેલો છે ત્યાં માટીનું લિક્વીફેક્શન થયું હતું. આ કારણે બિલ્ડીંગને નુકસાન થતું હોય છે તેવી વાત સામે આવી. એ પછી એ એક્ટિવ ફોલ્ટને શોધી શકાયો અને તેનું મેપિંગ થઈ શક્યું. ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, કચ્છ રિજિયનની જે પ્લેટ અને ફોલ્સ છે તે સ્ટેબલ છે. અહીં ભૂગર્ભ રચના પ્રમાણે પ્રેશર તો બની જ રહ્યું છે. પણ હજી સુધી એવો કોઈ બદલાવ નથી થયો કે અહીં પહેલીવાર બન્યું હોય તેવું થઈ રહ્યું છે. પણ એટલું કહી શકાય કે નિરંતર પ્રેશર બનવાની પ્રક્રિયા હાલમાં ચાલું જ છે. આ પ્રક્રિયાના કારણે જ આપણે ભૂકંપના નાના મોટા ઝટકાઓ અનુભવી રહ્યાં છીએ. જેનું રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, જ્યારે ભૂકંપ આવે છે તેનું અમે મોનિટરીંગ કરીએ છે જે બાદ અમે તેની ડિટેલ ચેક કરીએ છીએ. જેમાં તેનું એપી સેન્ટર ક્યાં હતું, તે કેટલા મેગ્નિટ્યુટનો હતો. આની ઈમ્પેક્ટ ક્યાં સુધી અનુભવાઈ. આ કારણોસર અંડરસ્ટેન્ડિંગ ઓફ જિયોલોજી વધી છે. પણ આપણી પાસે કોઈ કમ્પલિટ કંટ્રોલ ઓફ વિઝન હોય તેવું હજી સુધી નથી. હાલમાં ટેકટોનીક પ્લેટની સ્થિતિ કેવી છે? એ અંગે પૂછતાં ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, કચ્છથી લઈને હિમાલયની એક જ જેવી પરિસ્થિતિ છે. આપણી જે પ્લેટ છે એ યુરેશિયા કે પછી ચાઈનિઝ લાઈટની જ પ્લેટ છે. હાલમાં અહીં દબાણ વધી રહ્યું છે. આ જ કારણે મેજર અર્થ રિલેટેડ એક્ટિવિટી ચાલુ છે. ડૉ.દેવાંશુ પંડિતે કહ્યું, ભૂકંપનું અનુમાન કરવું એ ખૂબ જ અઘરું છે. કેમ કે ભૂકંપની મૂવમેન્ટ માત્ર સેકન્ડોની જ હોય છે. એટલે એમાં એવું ન કહી શકાય કે આજથી બે મહિના પછી કે એક વર્ષ પછી આ જગ્યાએ આટલી તિવ્રતાનો ભૂકંપ આવશે. જો કચ્છ રિજિયનની વાત કરવામાં આવે તો, અહીંની એક હજાર વર્ષની હિસ્ટ્રી છે. પણ જોવામાં આવે તો 1819ના વર્ષની આસપાસ જે ભૂકંપ આવ્યો હતો એ 2001ના ભૂકંપને મળતો આવે છે. આના પરથી એવું માની શકાય કે 200 વર્ષે આવી ઈવેન્ટ થતી હોય છે. પણ આ કોન્ફિડન્સ સાથે કે ચોક્કસપણે કહી શકાય નહીં. થોડા સમયથી જે રીતે કચ્છ અને રાજકોટમાં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે આ જોતા એવું માની શકાય કે આવનારા સમયમાં કચ્છમાં પણ જાપાનની જેમ ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે ? આ અંગે પૂછતાં ડૉ.દેવાંશુ પંડિતે કહ્યું આવું માનવું તો ખોટું જ છે. પણ જાપાન, સાઉથ અમેરિકા, ન્યૂઝીલેન્ડ આ બધા જ દેશો રિંગ્સ ઓફ ફાયરમાં આવેલા છે. એક હોર્સ સ્યૂ સેપ્સની 40,000 કિલોમીટર લેન્થની એક રિંગ છે જેના ઉપર સૌથી વધારે એટલે કે 75 ટકા વોલ્કેનોઝ છે તે અહીં લોકેટ થયેલા છે. એટલા માટે જ સૌથી મોટા ભૂંકપ પણ અહીં આવે છે. આની તુલનામાં આપણે ખૂબ જ સેફ છીએ. ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, 2001ની તુલનામાં તો આજે આપણી પાસે આ બાબતે ટેક્નોલોજી ખૂબ જ સારી છે. આ બાબતે આપણે વધારે ને વધારે સ્ટ્રોંગ બની રહ્યા છીએ. બીજું કે ત્યારની તુલનામાં આપણું જે કવરેજ છે તેની ક્ષમતા ખૂબ જ વધારે થઈ ગઈ છે. જેના થકી સિસ્મિક એક્ટિવિટીનો રોજ-બરોજનો ડેટા આવી રહ્યો છે. જેના થકી માઈક્રો ઝોનેશન કરી શકીએ છીએ. આના પરથી એ જાણી શકાય છે કે ભૂકંપ આવે તો કેટલો તેના કારણે બિલ્ડિંગ પર કેવી અસર થશે. ભલે આપણે ભૂંકપ અંગે પ્રિડિક્શન નથી કરી શકતાં પણ તે આવવાથી કેવું નુકસાન થઈ શકે છે તેનું ચોકક્સથી અનુમાન કરી શકીએ છીએ. (સ્ટોરી ઇનપુટઃ કમલ પરમાર) --------------------- ભૂકંપ સિરિઝના આ અહેવાલ પણ વાંચો…. કચ્છનો ભૂકંપ રબારી:8 મહિનાનું માસૂમ બાળક 84 કલાકે કાટમાળમાંથી જીવિત નીકળ્યું, મગજ બહાર નીકળી ગયું, દરગાહે દુઆ કર્યાના અડધી કલાકમાં ચમત્કાર અંજારની વ્હોરા કોલોનીમાં પોતાના ઘરે બેઠેલા જાહિદ અસગરઅલી લાકડાવાલા 26 જાન્યુઆરી, 2001ની સવારે આવેલા પ્રચંડ ધરતીકંપમાં ધ્રૂજી ગયા હતા. તેઓ ઘરમાંથી દોડીને બહાર આવ્યા તો ચારેય બાજુ દોડાદોડી થઈ રહી હતી. અફરાતફરીનો માહોલ હતો. અસગરઅલીને ખબર પડી કે ભૂકંપમાં વ્હોરા કોલોનીમાં રહેતા 300 લોકોમાંથી 123 લોકોનાં મોત થયાં છે. સદનસીબે અસગરઅલીના ઘરને ખાસ નુકસાન થયું નહોતું. તેનો પરિવાર પણ બચી ગયો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ ------------------- મોદીએ કહ્યું, આપણે ભુજ જવાનું છે:તારાજી જોઈને સાંસદ રડી પડ્યા, લોકો સ્મશાનમાં મૃતદેહો મૂકી ભાગી જાય, કચ્છને કાટમાળમાંથી બેઠું કરનારાઓની કહાની ભૂકંપ બાદ કચ્છમાં ચારેતરફ વિનાશ જ વિનાશ હતો. કેટલા લોકોનાં મોત થયાં એનો એ સમયે ફક્ત અંદાજો જ લગાવાતો હતો, કોઇ ચોક્કસ આંકડો નહોતો. ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કંઇ બચ્યું નહોતું. બધું નાશ પામ્યું હતું. એક રીતે કહીએ તો જનજીવન થંભી ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થઇ શકે, પણ મજબૂત ઇચ્છાશક્તિ, કુનેહ, વિઝન અને મહેનતે હજુ હાર નહોતી માની. આવા સમયે સરકાર, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ આગળ આવ્યા અને કચ્છની કાયાપલટ કરવાનો દૃઢ સંકલ્પ લીધો. જાણ્યા-અજાણ્યા ઘણા ચહેરા એવા છે, જેણે આમાં કચ્છની કાયાપલટ કરવામાં યોગદાન આપ્યું છે. આવા જ અમુક ચહેરાની વાત કરીએ દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ભૂકંપ @25માં. વાંચો સંપૂર્ણ અહેવાલ
આજના યુગમાં તમારો સ્માર્ટફોન માત્ર એક ડિવાઇસ નથી, તે તમારી બેંક, તમારું વોલેટ અને તમારી આખી જિંદગી છે. પણ શું તમે જાણો છો કે આ જ સ્માર્ટફોન કેવી રીતે તમારા માટે સૌથી મોટો ખતરો બની શકે છે? દિવ્ય ભાસ્કર એપ પર આવતીકાલથી શરૂ થતી નવી સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ તમને કહેશે સાયબર ફ્રોડની ચોંકાવનારી સત્યકથાઓ. ક્યાંક મોબાઇલ વૉલેટના નામે લોકો પાસેથી લાખો રૂપિયા લૂંટવામાં, તો કોઇકને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા. અરે, કોઇકને તો વિદેશમાં લઇ જઇને કિડનેપ પણ કરી દેવામાં આવ્યાના દાખલા આપણી આસપાસ જ છેલ્લા થોડા સમયમાં બન્યા છે. આપણા ગુજરાતમાં જ ગયા વર્ષે 1.75 લાખથી પણ વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. જેમાં લોકોએ ₹1,334 કરોડથી પણ વધુ રકમ ગુમાવી હતી. દિવસે ને દિવસે વધતી જતી સાયબર ફ્રોડની ઘટનાઓ સામે લડવા માટે આપણી સાવચેતી એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. બીજાની ભૂલમાંથી શીખીએ અને આપણે સાવચેત રહીએ તેમાં જ આપણી સલામતી છે. દિવ્ય ભાસ્કરની આ સિરીઝ ‘ડિજિટલ ડાકુ’માં તમને આવતીકાલે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ એક નવા ફ્રોડની શૉકિંગ સત્યકથા કહેવામાં આવશે. જેમાં ભોગ બનનાર ખુદ પોતાની આપવીતી કહેશે અને પોલીસ અધિકારીઓ આવા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી જણાવશે. એટલું જ નહીં, ન કરે નારાયણ અને આપણી સાથે આવો કોઈ ફ્રોડ થઈ જાય, તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી અને તેમાં ગુમાવેલાં નાણાં પરત મળે કે કેમ તેની માહિતી પણ આ સિરીઝમાં આપવામાં આવશે. આ માત્ર એક સિરીઝ નથી, આપણા અને આપણા પ્રિયજનોની સુરક્ષા માટેનું જરૂરી એજ્યુકેશન છે. કારણ કે, આગામી ભોગ બનનાર તમે પણ બની શકો છો! સાવધાન રહો, સુરક્ષિત રહો. જુઓ ‘ડિજિટલ ડાકુ’, જેની દરેક સ્ટોરી તમને સાવચેત બનાવશે!આવતીકાલથી વાંચવાનું ચૂકશો નહીં.
મિત્તલ, આપણા ઉપર મોટી દીવાલો ને પથ્થરો છે. તું સહેજ પણ હલતી નહિ. તું હલે છે ને મને દુ:ખે છે… હું ને રફીકભાઈ બજારની દુકાનો નીચે દટાયેલા હતા… મેં રફીકભાઈને કહ્યું તમે ખુદાને દુઆ કરો, હું ગાયત્રીમંત્રનો જાપ કરું છું. કોઈક તો બચાવવા આવશે જ. ફાસ્ટ ટ્રેન લોખંડના પુલ પરથી પસાર થાય ને જોરજોરથી કેવો અવાજ આવે, એવો અવાજ ત્યારે આવ્યો જ્યારે ભૂકંપ સમયે અંજારની બજારની દુકાનના શટર ખડખડતા હતા… આ શબ્દો અંજારના એ લોકોના છે જે 26 જાન્યુઆરીના ભૂકંપની હોનારતમાં બચી ગયા હતા અને નજર સામે મિત્રો, બહેનપણી ને સાથી કર્મચારીઓને અંતીમ શ્વાસ લેતા જોયા છે…. કચ્છના ભૂકંપના સમાચારથી દુનિયા સ્તબ્ધ હતી પણ અંજારની એક ઘટનાએ વિશ્વને મોટો આંચકો આપ્યો હતો. અંજારના એ સમાચાર સાંભળીને ભલભલા રડી પડ્યા હતા. ઘટના 26 જાન્યુઆરી 2001ની જ હતી. અંજારની સ્કૂલોના વિદ્યાર્થીઓની ભવ્ય રેલી નીકળી હતી. બાળકો યુનિફોર્મ પહેરીને હાથમાં નાનાં નાનાં તિરંગા સાથે ‘ભારત માતા કી જય..’ બોલતાં બોલતાં ચાલ્યા જતા હતા. ઘડિયાળમાં સમય હતો સવારે 8:30. વહેલી સવાર હતી, પ્રજાસત્તાક દિવસની રજા હતી એટલે એકલ-દોકલને બાદ કરતાં બાકીની દુકાનો બંધ હતી. વિદ્યાર્થિનીઓ હસતાં-હસતાં એકબીજી સાથે વાતો કરતી જતી હતી… વિદ્યાર્થીઓ એકબીજાના ખભે દોસ્તારની જેમ હાથ મૂકીને ચાલ્યા જતા હતા… શિક્ષકો દરેકને લાઈનમાં ચાલવા સૂચના આપ્યા કરતા હતા…. થોડી મિનિટો પછી આ રેલી ભરચક્ક વિસ્તાર ખત્રી ચોકમાં પહોંચી. અહિયા રેલી પહોંચી ને પ્રચંડ વિસ્ફોટ સાથે ધરતી ધણધણી ઉઠી. આસપાસ સિંગલ માળ અને વધીને બે-ત્રણ માળના મકાનો હતા તે ધડાધડ પડવા લાગ્યા. નગરપાલિકાની 18 સ્કૂલ અને 2 કન્યાશાળા મળીને કુલ 20 સ્કૂલના વિદ્યાર્થીઓ તે દિવસે રેલી માટે ભેગા થયા હતા. દરેક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકોને ત્યાં પહોંચવાનું હતું. રેલી ટાઉનહોલ સુધી જવાની હતી. રેલી નીકળી તો ખરી પરંતુ ટાઉનહોલ સુધી પહોંચી ન શકી. ધરતીકંપ રૂપી કાળ 185 વિદ્યાર્થીઓ અને 20 શિક્ષકોને ભરખી ગયો. એ રેલીમાં હાજર રહેલા જૂજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બચી ગયા. પરંતુ તેમની આંખે જોયેલું એ દર્દનાક દ્રશ્યોનું વર્ણન આજે પણ સ્તબ્ધ કરી દે તેવું છે. અમે અંજાર પહોંચ્યા અને આ રેલીમાંથી આબાદ બચેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. સૌ પહેલાં અમે કેતન રાઠોડને મળ્યા. તેઓ ઈલેક્ટ્રીશિયન તરીકે કામ કરે છે. તે 2001માં અંજારની શાળા નં.14મા સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. કેતનભાઈ રેલીમાંં ગયા નહોતા. કારણ કે, રેલી તેમના ઘર પાસેથી જ પસાર થવાની હતી. તેમણે વિચાર્યું હતું કે રેલી ઘર પાસેથી નીકળશે ત્યારે જોડાઈ જઈશ. જો કે, બન્યું એવું કે તેઓ રેલીમાં ભલે ન ગયા પરંતુ ભૂકંપમાં તેમનું ઘર પડી ગયું અને તેના કાટમાળમાં દટાઈ ગયા. જો કે, ચાર દિવસ પછી હેમખેમ બહાર નીકળ્યા. કેતનભાઈ આજે પણ પોતાની શાળા અને ગુમાવેલા સહપાઠીઓને ભૂલી શક્યા નથી. કેતનભાઈ કહે છે કે, હું મારા બે મિત્રો સાથે રોજ શાળાએ જતો અને પછી ભૂકંપમાં જે થયું તે તો દરેકને ખબર છે. આજે પણ 26 જાન્યુઆરી આવે એટલે આ બધું યાદ આવે છે. અને એ પણ યાદ આવે છે કે હું દટાઈ ગયો હતો. તે કહે છે કે, મને બરાબર યાદ છે કે, હું મંદિરે રમતો હતો પછી ઘરે ગયો એ સમયે ભૂકંપ આવ્યો એટલે મારાં દાદીએ મને નીચે બોલાવ્યો. હું ઘરમાં ઉપરથી નીચે આવ્યો ત્યાં ધરતીકંપ આવ્યો ને અમારું ઘર પડી ગયું. હું ને મારા દાદી બંને તેમાં દટાઈ ગયા. હું કાટમાળ નીચે આવી ગયો અને મારાં દાદી મારી છાતી ઉપર આવી ગયા. મારા દાદીનું તો ત્યાં જ અવસાન થઈ ગયું. પણ મારા શ્વાસ ચાલતા હતા. કેતનભાઈ સ્મૃતિમાં સરી પડતાં કહે છે કે, જ્યાં જોઉ ત્યાં ચારે બાજું કાટમાળ જ કાટમાળ… મારામાં કંઈ ખેસડવાની કે બહાર નીકળવાની હિંમત જ નહોતી. જમવાનું તો દૂર પરંતુ પાણી પણ મળતું નહોતું. એટલે મેં ત્યાં પેશાબ પી લીધો હતો. મને લોકોનો અવાજ તો સંભળાતો હતો, હું બચાવો.. બચાવો…ની બૂમો પાડતો રહ્યો પણ કોઈ સાંભળતું નહોતું. અમે જે કાટમાળમાં દટાયા હતા તેની ઉપરથી JCB ચાલતા હતા. તેની ધ્રુજારીનો અહેસાસ ચોક્કસ થતો હતો. કેતનભાઈ વાત આગળ વધારતાં કહે છે કે, હું પાંચ દિવસ સુધી કાટમાળમાં દટાયેલો રહ્યો હતો. જો કે, પછી મિલિટરી ઓફિસરને જાણ થતાં મને બહાર કાઢવામાં આવ્યો. મને કાઢ્યો એના પાંચ-છ કલાક પછી હું ભાનમાં આવ્યો. મને બહાર કાઢ્યા પછી મને હેલિકોપ્ટરમાં બેસાડી ભુજ લઈ ગયા હતા ત્યાં મુરલી મનોહર જોશી મને મળ્યા હતા. તે કહે છે કે, મને ભૂકંપ શબ્દથી નફરત તો નથી પરંતુ 26 જાન્યુઆરીએ આ બધું આંખ સામે તરી આવે છે પણ શું કરીએ… મારા દાદી મારા બાજુમાં જ મરી ગયા પરંતુ હું કંઈ કરી ન શક્યો. કેતનભાઈને મળ્યા પછી અમે આ રેલીમાં ગયેલી વિદ્યાર્થિની મિત્તલ ઠક્કરને મળ્યા. તેમનો આ હોનારતમાં આબાદ બચાવ થયો હતો. આ પછી મિત્તલ ભૂંકપ સ્થળે આવેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને પણ મળી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. મિત્તલ આખી ઘટનાનું વર્ણન કરતાં કરતાં વચ્ચે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ભારે હૈયે તેમણે આખી વાત વર્ણવી. મિત્તલ ભૂકંપ સમયે અંજારની શાળા નંબર 4માં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે કહે છે કે, અમારી રેલી શરૂ જ થઈ હતી અને થોડીવારમાં ભૂકંપ આવ્યો. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે અંજારના ખત્રી ચોક વિસ્તારમાં હતા. તે ભૂકંપમાં અંજારનો સૌથી વધુ અફેક્ટેડ એરિયા હતો. તે સમયે આ વિસ્તારના ઘરો પત્તાંની જેમ ઘડીભરમાં પડવા લાગ્યા હતા. કોઈ દોડીને ક્યાંય જઈ શકે તેવો સમય જ ન મળ્યો. ભૂકંપ શરૂ થયાના એક મિનિટથી ઓછા સમયમાં હું પણ દટાઈ ગઈ. હું થોડા સમય માટે બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવી ત્યારે મને ખબર પડી કે હું બે માળના મકાનના સ્લેબ નીચે દટાઈ ગઈ છું. તે કહે છે કે, મેં જોયું તો ખબર પડી કે જે રીતે બાળકોની રેલી જતી હતી તે જ રીતે નીચે પણ બાળકો લાઈનસર દટાયેલા હતા. કોઈની પણ મૂવમેન્ટ તેના બાજુ વાળા બાળક માટે પેઈનફૂલ હતી. કોઈ હલે તો બાજુવાળું કહેતું કે તું હલ નહીં મને દુ:ખે છે. પોતાના બહાર આવવા વિશે જણાવતા મિત્તલ કહે છે કે, અમારી ઉપરથી કાર અને રેકડીઓ પસાર થઈ રહી હતી. તેવામાં કોઈને મારી ટી-શર્ટનુું નાનકડું કપડું દેખાઈ ગયું. આ પછી લોકોએ કહ્યું કે અહીં કોઈ દટાયેલું લાગે છે. આ પછી બે-ત્રણ લોકોએ મળી મારા પરના સ્લેબને કાપીને મને બહાર કાઢી. મેં કહ્યું કે મારી બાજુમાં પણ એક બાળક દટાયેલો છે પરંતુ સાધનોના અભાવના કારણે તેઓ તેને બચાવી ન શક્યા. ઘણા લોકો આઘાત સહન ન કરી શકવાના કારણે પણ મૃત્યુ પામ્યા. આ ભૂકંપમાં મેં મારી બે ખાસ બહેનપણી ગુમાવી. પોતાની બહેનપણી સાથેની વાતોને યાદ કરતાં તે કહે છે કે, અમે રેલીમાં સવારે એક સમયે ઘરેથી નીકળવાનું નક્કી કર્યું હતું. રેલીમાં ત્રણ ત્રણ બાળકોની લાઈન હતી. અમે શરૂઆતથી જ રેલીમાં સાથે ચાલતા હતા. અમે એકબીજાના હાથ પકડીને ચાલી રહ્યા હતા. હું બહાર નીકળી પછી મને જાણ થઈ કે મારી બંને બહેનપણીને હું દબાયેલી હાલતમાં જ ગુમાવી ચૂકી હતી. મારી બન્ને બહેનપણીના નામ શિવાની અને પ્રિયંકા હતા. તેઓ મારી પહેલા નીકળી ગયા હતા પરંતુ તેઓ આઘાત સહન ન કરી શકવાના કારણે બચી ન શક્યા. મિત્તલ ઠક્કર કહે છે કે, મેં શરૂઆતમાં તો બહાર નીકળવાનો ખુબ પ્રયત્ન કર્યા પરંતુ હું બહુ હલનચલન કરું તો બાજુવાળા વિદ્યાર્થીએ કહ્યું કે, મિત્તલ તું હલ નહિ, મને દુ:ખે છે. બહુ પ્રયત્ન પછી મને લાગ્યું હું કંઈ કરી શકું તેમ નથી. છેલ્લે મેં પ્રાર્થના કરી કે ભગવાન મારી સાથે જે કરે તે કરે, પણ મારા પરિવારને બચાવી લેજે. આટલું બોલતા જ મિત્તલ રડી પડ્યાં. થોડીવાર પછી અમે તેમને પાણી આપ્યું અને તે શાંત થયા તે પરિવાર સાથે મળવાની વાત કરતાં કહે છે કે, મને બહાર કાઢી ત્યારે મારો એક પગ ફેક્ચર થયેલો હતો. મને રેસક્યૂ ટીમે એકબાજુ બેસાડી હતી. થોડીવારમાં મને શોધતા શોધતા પહોંચેલા મારા પિતાને જોયા. ત્યારે મેં જોરથી બૂમ પાડી અને મારા પિતાને કહ્યું કે હું અહીંયા છું. મિત્તલ કહે છે કે, મને નવું જીવન મળ્યું છે. આજે પણ મારા મિત્રોના પેરન્ટ્સને જોઉં છું તો થાય છે કે તેમની પાસે તેમના બાળકો નથી. આ વાતને હું પોઝિટિવલી લઉં છું. મને લાગે છે કે, ભગવાને કોઈ ઉદેશ્ય સાથે નવું જીવન આપ્યું છે. મેં આ બધી વાતને લઈ ભણતરમાં માઈન્ડ ડાઈવર્ટ કર્યું. મેં એનવાર્યમેન્ટલ સાયન્સ, ક્લાઈમેન્ટ ચેન્જ જેવા વિષયોનો અભ્યાસ કર્યો. મેં એન્વાર્યમેન્ટલ સાયન્સમાં મારું ગ્રેજ્યુએશન અને માસ્ટર પૂરું કર્યું. ભૂકંપની ક્લાયમેન્ટ ચેન્જની અસર પર મેં મારું Ph.D પૂરું કર્યું. અત્યારે હું ઈન્ડિયન ગર્વમેન્ટની હરિનાવી પોસ્ટ ડોક્ટરેટ ફેલોશિપ સાથે મારો અભ્યાસ આગળ વધારી રહી છું. તે કહે છે કે, મારું સપનું છે કે, જાપાન જેવા દેશમાંથી આપણે શીખીએ અને આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટને એટલું મજબૂત બનાવીએ કે, હ્યુમન લોસ વગર આપણે આવી આપદ્દાઓ સહન કરતા શીખીએ. મિત્તલના પિતા જેઠાલાલ ઠક્કર પણ 185 બાળકો દટાઈ ગયા તે કરૂણ ઘટનાના સાક્ષી છે. 26 જાન્યુઆરીની રેલીમાં મિત્તલના પિતા જેઠાલાલ પણ હતા. જેઠાલાલ તે સમયે અંજારની શાળા નંબર 6માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અમે જેઠાલાલ સાથે પણ ખાસ વાતચીત કરી. જેઠાલાલ કહે છે કે, આ રેલી એ અમારી પરંપરા હતી. દર વર્ષે આ જ રીતે અમે રેલી કાઢતા હતા. આ રેલી સવારચંદ નાકાથી શરૂ કરી બજારમાં થઈ ટાઉનહોલ સુધી જતી. આ રેલીમાં દરેક શાળાના વિદ્યાર્થીઓ એકઠા થઈ જોડાતા હતા. રેલી પૂરી થયા પછી ટાઉનહોલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાતો હતો. 2001માં પ્રજાસત્તાક દિવસે પણ આ રીતે જ રેલી કરવાની હતી. દરેક શાળાના બાળકો નાકે ભેગા થયા હતા. શિક્ષકોએ દરેક બાળકના હાથમાં ધ્વજ આપ્યા હતા. દરેક બાળકના હાથમાં એક-એક ધ્વજ હતો. ત્રણ ત્રણની હરોળમાં દરેક બાળકને ગોઠવવામાં આવ્યા હતા. શિક્ષકો, બે પોલીસ જવાનો અને બાળક સાથે રૂટ મુજબ શરૂ થઈ ગઈ હતી. બાળકો રસ્તામાં તોફાન ન કરે અને રસ્તામાંથી પસાર કરતી વખતે આવતા વાહનોને રોકી સલામત રીતે પસાર કરાવવાની જવાબદારી મારી હતી. બાળકો દેશદાઝ સાથેના નારા લગાવતા લગાવતા આગળ વધતા હતા. બાળકો મેઈન રસ્તા સુધી પહોંચે તે પહેલા જ ભૂંકપના કારણે બધું વિખાઈ ગયું. બધું ધ્વસ્ત થઈ ગયું. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે થોડા સમય માટે અમે પણ નક્કી નહોતા કરી શક્યા કે આને ભૂકંપ કહેવાય ! મારી જિંદગીમાં હું પહેલીવાર ભૂકંપ જોઈ રહ્યો હતો. ભૂકંપ આવ્યો ત્યારે દુકાનના શટરના ભયંકર અવાજ હતા. જ્યારે ટ્રેન નદી પરના રેલવે બ્રિજમાંથી પસાર થાય ત્યારે જેવી તિવ્રતાથી અવાજ આવે તેવો અવાજ દુકાનના શટરમાંથી આવતો હતો. મકાનો પડતા ગયા તેના કાટમાળની ધૂળ પણ એટલી ઉડી કે કલ્પના ન કરી શકીએ. આસપાસમાં કંઈ દેખાતું નહોતું. થોડા સમય પછી થોડું દેખાવા લાગ્યું અને જોયું તો ખબર પડી કે રેલીમાં આવેલા બાળકો મકાનના કાટમાળ નીચે દટાયેલા હતા. મારી દીકરી પણ રેલીમાં હતી. થોડીવાર માટે તો મગજમાં શૂન્યઅવકાશ સર્જાઈ ગયો હતો. ક્યાં જવું અને શું કરવું કંઈ જ મગજ કામ કરતું નહોતું. જ્યાં જુઓ ત્યાં ચારેબાજુ કાટમાળના ઢગલા અને વિચલિત કરી દે તેવા દૃશ્યો હતા. તેવામાં શું વિચાર આવે? કાટમાળ એવો પથરાઈ ગયો હતો કે રસ્તો પણ મળતો નહોતો. અનેક લોકોને ફસાયેલા જોયા હતા પરંતુ કોઈ સાધન હાથમાં નહોતું કે કોઈને બચાવી શકીએ. જેઠાલાલે પોતાની શાળાના એક શિક્ષક ખરાડી સાહેબ અને બે-ત્રણ વિદ્યાર્થીઓને પણ ગુમાવ્યા. પરંતુ એમને આ વાતની જાણ તો મોડી થઈ. શરૂઆતમાં તો લાઈટ પાણી સહિત કોઈ સુવિધા નહોતી કે આ બધી જાણ થાય. જેઠાલાલ કહે છે કે, આજે પણ ઝંડા પકડેલા બાળક જોઈએ તો તે દૃશ્ય ફરી યાદ આવે છે. તેમની યાદમાં બનેલા સ્મૃતિવનમાં અમે તેમને શ્રદ્ધાંજલિ આપવા જઈએ છીએ. આ રેલીનો ભાગ રહેલા અને ચાર કલાક સુધી કાટમાળમાં દટાયેલા શિક્ષક વિશ્રામભાઈ મકવાણા સાથે ભાસ્કરે વાતચીત કરી. વિશ્રામભાઈ છેલ્લા 36 વર્ષથી અંજારમાં અને છેલ્લાં 34 વર્ષથી શાળા નં.17માં અભ્યાસ કરાવે છે. ભૂંકપ સમયે પણ તેઓ અહીંયા જ અભ્યાસ કરાવતા હતા. તેઓ કહે છે કે, 1991થી હું આ શાળામાં છું. 26 જાન્યુઆરી 2001માં દર વર્ષની જેમ તે વખતે પણ ટાઉનહોલમાં રેલી સ્વરૂપે પહોંચી ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ રેલી અંદાજે 1.5 થી 2 કિલોમીટરની હોય છે. તે દિવસે રેલી નિયત કરેલા સમય કરતાં મોડી શરૂ થઈ હતી. જો રેલી સમયસર શરૂ થઈ હોત તો કદાચ દૃશ્ય કંઈક અલગ હોત. અંદાજે રેલી સવારે 7.30 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ તે દિવસે રેલી શરૂ થતાં થતાં સવારના 8.15 થઈ ગયા હતા. રેલી સમયસર શરૂ થઈ હોત તો નિયત સ્થળે ખુલ્લી જગ્યામાં પહોંચી ગઈ હોત ને આટલી જાનહાનિ ન થઈ હોત. વિશ્રામભાઈ કહે છે કે, અમારી શાળામાંથી અમે ત્રણ શિક્ષકો ત્યાં ગયા હતા. હું કાસમ સાહેબ અને એક ગિરીશભાઈ ચાવડા પણ હતા. ગિરીશભાઈને અમે આ હોનારતમાં ગુમાવ્યા. મારી સાથે શાળાના 15-17 વિદ્યાર્થીઓ હતા. ગિરીશભાઈ સાથેની છેલ્લી વાતને યાદ કરતાં વિશ્રામભાઈ કહે છે કે, રેલીના આગળના દિવસે ગિરીશભાઈના મોટાબાપુનું અવસાન થયું હતું. તેઓ બે વર્ષ પહેલાં જ વિદ્યા સહાયક તરીકે નોકરીએ લાગ્યા હતા. મેંં તેમને કહ્યું હતું કે, તમારા મોટાબાપુનું અવસાન થયું છે તો તમારે અત્યારે આવવાની જરૂર નથી. આવી પરિસ્થિતિમાં તમારે ઘરે રહેવાની જરૂર છે. આ મારી સાથેની છેલ્લી વાતચીત હતી. તેમણે આ વાતનો જવાબ આપતાં કહ્યું હતું કે રેલીમાં તો આવવું જ પડે ને... દુર્ઘટના અંગેનું વર્ણન કરતાં વિશ્રામભાઈ કહે છે કે, ભૂકંપ આવ્યો તે પહેલાં મોટાભાગની રેલી ખત્રી ચોકમાંથી પસાર થઈ ચૂકી હતી. છેલ્લા છેલ્લા છોકરાઓ ખત્રી ચોકમાં પડેલા મકાન નીચે આવી ગયા. બાળકો દટાયા ત્યારે હું કસ્ટમ ચોક પાસે હતો. તે સમયે બજાર ખૂબ સાંકડી હતી. બજારમાં માંડ એક ગાડી નીકળી શકે તેટલી જ જગ્યા હતી. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે શરૂઆતમાં તો પાકિસ્તાને બોમ્બ ફેંક્યો હશે તેવી પણ અફવા ઊડી હતી. જો કે, બધું એવી રીતે થયું કે કોઈને ભાગવાનો કે બચીને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો. અમે ત્રણ ચાર શિક્ષકો સાથે જઈ રહ્યા હતા. એક શિક્ષક મારાથી આઠ-દસ ફૂટ જ દૂર હતા. તેઓ પણ ત્યાં દટાઈ ગયા. બીજા એક શિક્ષક બહાર નીકળી ગયા. કારણ કે, તે બહાર ફરતા હતા. જ્યારે હું આખેઆખો કાટમાળમાં દટાઈ ગયો હતો. મારા ઉપર એક કલાર્ક મૃત પામેલી હાલતમાં પડ્યા હતા. અન્ય એક રહીશ પણ મારી બાજુમાં દટાઈ ગયા હતા. વિશ્રામભાઈ કહે છે કે, મારી આસપાસ ને મારી ઉપર દુકાનનો કાટમાળ પડ્યો હતો. હું રવિ સ્ટુડિયો પાસે દટાયો હતો. બજારનો કાટમાળ આખા રસ્તામાં પથરાઈ ગયો હતો. સવારના 9થી લઈ બપોરના 1.30 વાગ્યા સુધી હું દટાયેલો રહ્યો. બચી ગયેલા એક શિક્ષકે બધે સમાચાર આપ્યા અને કેટલાક લોકોએ આવીને મને બચાવ્યો. દટાયેલી હાલતનાં સંજોગોને યાદ કરતાં વિશ્રામભાઈ મકવાણા કહે છે કે, મારી બાજુમાં શાળા નં.2ના રફીકભાઈ પણ દટાયેલા હતા. હું ત્યાં દટાયેલી અવસ્થામાં ગાયત્રી મંત્રના જાપ કરતો હતો. તેઓ પણ તેમની રીતે ખુદાની બંદગી કરતા હતા. મેં વિચાર્યું કે આ સમય એવો છે કે ભગવાનનું નામ લેવાથી કોઈ તો બચાવવા આવશે... હું દટાયેલો હતો ત્યારે મારાથી દસ ફૂટ દૂર તિરાડમાંથી થોડો સૂર્યપ્રકાશ આવતો હતો એટલે મને લાગ્યું કે,અહીંથી હવાની અવરજવર તો રહેશે. બાજુમાં દટાયેલા રફીકભાઈની આંગળી મારા નાક પાસે આવી ગઈ હતી. મેં તેમને કહ્યું કે, થોડી આંગળી દૂર કરજો મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પરંતુ અવસ્થા એવી હતી કે આંગળી પણ દૂર થઈ શકે તેમ નહોતી. બીજા એક ભાઈ નજીકમાં જ દટાયેલા હતા. તેમનો પહેલા અવાજ આવતો અને ધીરે ધીરે તેમનો અવાજ બંધ થઈ ગયો એટલે લાગ્યું કે તે હવે નહીં રહ્યા હોય. હું અને રફીકભાઈ અંતે સાથે બહાર નીકળ્યા અને મારી પ્રાર્થના અને તેમની બંદગી બન્ને સાથે કામ લાગ્યાં. વિદ્યાર્થીઓને યાદ કરતાં તે કહે છે કે, અમારી શાળાના ચારથી પાંચ વિદ્યાર્થીઓ પણ આ હોનારતનો ભોગ બન્યા. તેઓ પોતાના એક વિદ્યાર્થી વિશાલ પ્રજાપતિને યાદ કરીને ખુબ અફસોસ વ્યક્ત કરતાં કહે છે કે, વિશાલ ખૂબ હોંશિયાર છોકરો હતો. તેને અમે ગુમાવ્યો તેનો ખૂબ અફસોસ છે. તે મોટો થઈ જરૂર કંઈક બન્યો હોત. પરંતુ તેને અમે ગુમાવી દીધો. હું તો એક વિશાલને ઓળખતો હતો પણ બાકી ઘણા વિદ્યાર્થીઓ તેજસ્વી હતા પણ કાળે તેમને છીનવી લીધા. --------------------- ભૂકંપ સિરિઝના આ અહેવાલ પણ વાંચો…. કચ્છનો ભૂકંપ રબારી:8 મહિનાનું માસૂમ બાળક 84 કલાકે કાટમાળમાંથી જીવિત નીકળ્યું, મગજ બહાર નીકળી ગયું, દરગાહે દુઆ કર્યાના અડધી કલાકમાં ચમત્કાર અંજારની વ્હોરા કોલોનીમાં પોતાના ઘરે બેઠેલા જાહિદ અસગરઅલી લાકડાવાલા 26 જાન્યુઆરી, 2001ની સવારે આવેલા પ્રચંડ ધરતીકંપમાં ધ્રૂજી ગયા હતા. તેઓ ઘરમાંથી દોડીને બહાર આવ્યા તો ચારેય બાજુ દોડાદોડી થઈ રહી હતી. અફરાતફરીનો માહોલ હતો. અસગરઅલીને ખબર પડી કે ભૂકંપમાં વ્હોરા કોલોનીમાં રહેતા 300 લોકોમાંથી 123 લોકોનાં મોત થયાં છે. સદનસીબે અસગરઅલીના ઘરને ખાસ નુકસાન થયું નહોતું. તેનો પરિવાર પણ બચી ગયો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ ------------------- મોદીએ કહ્યું, આપણે ભુજ જવાનું છે:તારાજી જોઈને સાંસદ રડી પડ્યા, લોકો સ્મશાનમાં મૃતદેહો મૂકી ભાગી જાય, કચ્છને કાટમાળમાંથી બેઠું કરનારાઓની કહાની ભૂકંપ બાદ કચ્છમાં ચારેતરફ વિનાશ જ વિનાશ હતો. કેટલા લોકોનાં મોત થયાં એનો એ સમયે ફક્ત અંદાજો જ લગાવાતો હતો, કોઇ ચોક્કસ આંકડો નહોતો. ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કંઇ બચ્યું નહોતું. બધું નાશ પામ્યું હતું. એક રીતે કહીએ તો જનજીવન થંભી ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થઇ શકે, પણ મજબૂત ઇચ્છાશક્તિ, કુનેહ, વિઝન અને મહેનતે હજુ હાર નહોતી માની. આવા સમયે સરકાર, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ આગળ આવ્યા અને કચ્છની કાયાપલટ કરવાનો દૃઢ સંકલ્પ લીધો. જાણ્યા-અજાણ્યા ઘણા ચહેરા એવા છે, જેણે આમાં કચ્છની કાયાપલટ કરવામાં યોગદાન આપ્યું છે. આવા જ અમુક ચહેરાની વાત કરીએ દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ભૂકંપ @25માં. વાંચો સંપૂર્ણ અહેવાલ
ચોરીનો મામલો આવ્યો સામે:મોતીબાગ ગ્રાઉન્ડના સુપરવાઇઝરે નોકરીમાંથી કાઢતા ગાર્ડે બાઇક ચોરી
મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિકયુરિટી સુપરવાઈઝર અને જવાન સાથે બાબતે વિવાદ થયો હતો.પરિણામે સિકયુરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જેનો રોષ રાખી સુપરવાઈઝરની બાઇક ચોરી કરનાર ગાર્ડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ગત 22 તારીખે મોતી નગર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરથી મોટર સાયકલ ચોરી થઈ હોવાની ફરિયાદ રાવપુરા પોલીસ મથકે નોંધાઈ હતી.જેમાં સિક્યુરિટી સુપરવાઈઝર રમેશભાઈ સુકાજી બારાએ જણાવ્યું હતું કે મારી હોન્ડા મોટર સાયકલ લઈને 22મીએ ફરજ ઉપર ગયો હતો અને પાર્ક કર્યું હતું એ જગ્યાએ બાઇક મળી ન હતી. આ અંગે રાવપુરા પોલીસે બાઇક ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે અજબડી મિલ પાસેથી પસાર થતા મોટરસાયકલ ચાલકને અટકાવ્યો હતો. જેને પોતાનું નામ હિતેન્દ્ર પરમાર હોવાનું જણાવ્યું હતું. એની પાસે બાઇકના કાગળો માંગતા એ રજૂ કરી શક્યો ન હતો. વધુ પૂછપરછમાં એને આ બાઇક મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરથી સિક્યુરિટી સુપરવાઈઝરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હિતેન્દ્ર પરમારે પોલીસને જણાવ્યું હતું કે મને નોકરીમાંથી કાઢી મૂકતા મને ગુસ્સો આવ્યો હતો અને સિકયુરિટી સુપરવાઇઝર સામે બદલો લેવા મેં ચોરી કરી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે માસથી પગાર ન મળતા બાઈક ચોરીના રવાડે ચઢ્યોસિક્યુરિટી સુપરવાઈઝર રમેશ બારાની બાઇક ચોરી કરનાર સિકયુરિટી જવાન હિતેન્દ્રને મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડની નોકરી માંથી બે મહિના પહેલા કાઢી મૂક્યો હતો. નજીવી બાબતે ગેરસમજ થઈ હતી.જે અંગે હિતેન્દ્રે માફી માંગી હતી.તેમ છતાં નોકરી ઉપર પરત લેવાયો ન હતો.બીજી તરફ બે મહિનાથી પગાર નહીં મળતા આર્થિક હાલત પણ કફોડી થઈ હતી.પરિણામે બાઇક ચોરી કરી હિતેન્દ્રએ જિંદગીનો પ્રથમ ગુનો કર્યો હતો.
વડોદરામાં એક તરફ અધિકારીઓ કામ નહીં કરતા હોવાની 5 ધારાસભ્યોએ ફરિયાદ કરી છે. તેવામાં સાંસદે કાર્યકર્તાઓના વખાણ કર્યા છે. તેઓએ વોર્ડ 16ના પેવર બ્લોકના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો લોકોની ગાળો ખાઈ, લોકોના કામ માટે અધિકારીઓ સાથે ગાળાગાળી કરી લે છે સંબોધન કર્યું હતું. વડોદરા જિલ્લામાં વિકાસના કામો નહીં થતા હોવાની ફરિયાદ સાથે 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખતા ભારે વિવાદ સર્જાયો હતો. જેના કારણે સાવલીના ધારાસભ્ય સિવાય બાકીના ધારાસભ્યોનો સૂર બદલાયો છે. તેવામાં ધારાસભ્યોની ફરિયાદથી વિપરીત સાંસદે કાર્યકર્તાઓ અધિકારીઓ પાસે કામ કરાવી શકતા હોવાનું સંબોધન કર્યું છે. વોર્ડ 16માં પેવર બ્લોક નાખવાના કામના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ ડો. હેમાંગ જોષીએ કાર્યકર્તાઓના વખાણ કર્યા છે. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, હંમેશાં પાર્ટીના કાર્યકરો લોકો વચ્ચે રહી, લોકોની ગાળો ખાઈને પણ લોકોના કામ કરવા માટે અધિકારીઓ સાથે ગાળાગાળી કરી લે છે. પરંતુ આ તમામ પાછળ લોકોનું હિત જળવાયેલું છે.
ગોરવા ખાતે રાજપીપળાના લક્ષ્ય ટ્રસ્ટ અને વડોદરાના આલાપ ધ સ્કૂલ ઓફ મ્યૂઝિકના સંયુક્ત ઉપક્રમે પં.પુરૂષોત્તમ વાલાવલકર સંગીત પર્વ નિમિત્તે ‘રાગાનંદમ્’ શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્વાગત પ્રવચનમાં પં.મનહર સંઘવીએ જણાવ્યું હતુ કે, કલાકાર કદી વૃધ્ધ થતો નથી. તેમજ તે સાથે શરૂઆતમાં ગાયક વિકાસ પરીખે પુરિયા ધનાશ્રી રાગની પ્રસ્તુતિ કરી હતી. વિજયકુમાર સંત અને ડૉ. વિશ્વાસ સંતે રાગ બિહાગમાં સિતાર વાદન કર્યુ હતુ. લક્ષ્ય ટ્રસ્ટના અધ્યક્ષ માનવેન્દ્રસિંહ ગોહિલ અને જયમીન સંઘવીએ રાગ ચારૂકેશીમાં હારર્મોનિયમ પર જુગલબંધી કરી હતી. જયારે મનહર સંઘવી અને જયમીન સંઘવી પિતા પુત્રની જુગલબંધીમાં ગીત સુન સખી સાજન ઘર આયો ને રાગ ખમાજ અને કલાવતીથી નવો તૈયાર થયેલ રાગ ખેમકલીની પ્રસ્તુતિ આપી હતી. મહોત્સવના અંતમાં આલાપ મ્યુઝિક સ્કુલના બાર સાધકોએ ભૈરવી રાગમાં સ્વર માલિકા સરગમ ગીત રજુ કરી સંગીતમય વાતાવરણ બનાવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં ‘રાસોસ ધ ડ્યુડ્રોપ ઑફ એક્સપિરિયન્સ’ નામની પ્રસ્તુતિ કરાઇ હતી. જેમાં ઇન્ડો લિથુએનિયન નૃત્ય પ્રસ્તુતિએ ભારતીય અને લિથુએનિયન સંસ્કૃતિને એક સૂત્રમાં બાંધી હતી. લિથુએનિયાની ‘રાસોસ’ ઉજવણી અને ભારતીય ‘રસ’ની ભાવનાત્મક સંકલ્પનાને કેન્દ્રમાં રાખે છે.લિથુએનિયામાં ઉજવાતી રાસોસ ઉત્સવમાં શબનમ, અગ્નિ, જળ અને લોકકથાઓનું વિશેષ મહત્ત્વ છે. શબનમની નાજુકતાથી લઈ જળના વિનાશક સ્વરૂપ સુધીની યાત્રા આ પ્રસ્તુતિનો મુખ્ય વિષય રહ્યો.આ પ્રસ્તુતિ માત્ર નૃત્ય નહીં, પરંતુ સંસ્કૃતિ, પ્રકૃતિ અને માનવ અનુભવ વચ્ચેનો એક સંવેદનશીલ સંવાદ બની રહી.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:આર્કિટેક્ટની છાત્રા પ્રિન્સી અને બ્રિન્દાએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ મેળવ્યા
તાપી જિલ્લાના વ્યારા ખાતે ખેલ મહાકુંભ રાજ્યકક્ષા 2025-2026 બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં વુમન્સ ડબલ્સ ઓપન કેટેગરી સહિતની વિવિધ કેટેગરીમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં નવરચના યુનિવર્સિટીની આર્કિટેક્ટમાં અભ્યાસ કરતી પ્રિન્સી પટેલ અને બ્રિન્દા સિંદેની જોડીએ વુમન્સ ડબલ ઓપન કેટેગરીમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.
સિટીના 150 શ્વાન દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં તેઓએ બનાવેલા એબ્સ્ટ્રેક્ટ ડ્રોઇંગનું પ્રદર્શન યોજવામાં આવશે. માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ શ્વાનના આરોગ્ય અને સંભાળને પણ મહત્વ આપાયું હતું. કાર્યક્રમ દરમિયાન ફ્રી ડોગ મેડિકલ ચેકઅપ કેમ્પ, બેસિક ગ્રૂમિં, ડોગ ફોટોગ્રાફી અને આર્ટ ઝોન જેવી પ્રવૃત્તિ યોજાઇ હતી. શ્વાન પ્રત્યે પ્રેમ, સંવેદના અને જવાબદારીના ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. ફ્રી ડોગ મેડિકલ ચેક-અપ કેમ્પ, બેસિક ગ્રૂમિંગ, ફોટોગ્રાફીના સ્ટોલ્સમાં પેટ ડોગ્સે ભાગ લીધો પોલીસ ડોગ સ્ક્વોડનું સન્માન કરાયુંઝી કેર ફાઉન્ડેશન તેમજ સંલગ્ન પ્રાણી પ્રેમી સંસ્થાઓ દ્વારા આયોજિત ‘ડોગ્સ ઓફ વડોદરા’ કાર્યક્રમમાં શહેર પોલીસ ડોગ સ્ક્વોડનું સન્માન કરાયું હતું. ડોગ સ્ક્વોડનાં બોસ્કો, એશ્લી અને રોઝર નામના શ્વાનો નું સન્માન કરાયું હતું. વડોદરા. સિટીમાં ઝી કેર ફાઉન્ડેશન દ્વારા વાસણા બલ્ક બોક્સ ખાતે ‘ડોગ્સ ઓફ વડોદરા’શ્વાન પ્રતિભાના અનોખા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશની પ્રથમ શ્વાન ચિત્ર સ્પર્ધા છે તેમ સંસ્થાના ફાઉન્ડર ઝી અભિએ જણાવ્યું હતું. શ્વાનની ચિત્ર સ્પર્ધામાં 150થી પણ વધારે પેટ અને સ્ટ્રીટ ડોગ સાથે તેમના પેરેન્ટ્સે ભાગ લીધા હતો. પેટ ડોગ્સે કલાકાર બની કેનવાસ પર કલરથી પંજા-જીભથી એબ્સ્ટ્રેક્ટ ડ્રોઇંગ બનાવ્યા હતા. ઉમ્મીદ કી દીવાલ બનાવી ડોગ અડોપ્શન સ્ટોલ મુકાયોપેટ ડોગ અને સ્ટ્રીટ ડોગ વચ્ચેનો મતભેદ હટાવવા માટે એક ઉમ્મીદ કી દીવાલ કરીને દિવાલ બનાવવામાં આવી હતી. ત્યા જે પણ શ્વાન પ્રેમીને અડોપ્શન કરવું હોય તે ત્યાથી એડોપ્ટ કરી પોતાનું નામ નોંધાવી શકતા હતા.
સિદ્ધિ:કાતા અને કુમિતમાં સિટીના 74 ફાઇટર્સે 27 ગોલ્ડ સહિત 80 મેડલ હાંસલ કર્યા
આણંદની ચારુસત યુનિવર્સિટી ચાંગા ખાતે નિહોન શોટોકાન 15મી નેશનલ સોટોકન કરાટે ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપમાં ભારતના ગોઆ, કેરાલા, તામિલનાડુ , કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યમાંથી 1200થી પણ વધુ ફાઇટર્સે ભાગ લીધો હતો. જેમાં વડોદરાના તરસાલીની પ્રતીક કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ કાતા અને કુમિતમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું. એકેડમીના 74 જેટલા ફાઇટર્સે વિવિધ કેટેગરીમાં કાતા અને કુમિતમાં ભાગ લઇ 27 ગોલ્ડ, 22 સિલ્વર અને 31 બ્રૉન્ઝ સહિત કુલ 80 મેડલથી વિજેતા થયા. તેમ એકેડમીના કોચ પ્રતીક સિંઘાનિયાએ જણાવ્યું હતું.
શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત ખાનગી કોન્ટ્રાક્ટરના હવાલે બાળમેળો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સમિતિના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારે બાળમેળામાં વ્યવસાયિક ધોરણો પ્રમાણે યોજવામાં આવ્યો હોવાથી આગામી સમયમાં વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ છે.ચાલુ વર્ષે આનંદ બજારના સ્ટોલ ઘટાડી દેવાયા છે. કૂપન માટે કાઉન્ટર ઉભું કરાયું છે. શિક્ષકો નહીં ખાનગી કેટરર્સ સ્ટોલ સંચાલન કરતાં નજરે પડ્યા હતા. આ વર્ષે માત્ર 20 સ્ટોલ ઉભા કરાયા છે. પ્રથમવાર ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક ગેમના 10 રૂપિયા લેખે ચૂકવાના રહેશે, 6 ગેમ રાખવામાં આવી છે. પ્રથમવાર ટોકન કાઉન્ટર, કૂપન લઇને સ્ટોલ પર જવાનું બાળમેળામાં આનંદબજારમાં ખાવા-પીવાની વસ્તુઓ મળે છે. જે બાળકો, વાલીઓ અને બાળમેળામાં આવેલા શહેરીજનોમાં લોકપ્રિય છે. જોકે પ્રથવાર ટોકન કાઉન્ટર આનંદ બજારની શરૂઆતમાં કરાયું છે. જ્યાં કૂપન લઇને સ્ટોલ પર જવાનું છે. ત્યાર બાદ જે તે સ્ટોલ પરથી ખાવાની વસ્તુ લેવાની છે. વીઆઇપી ટેન્ટમાં પહોંચી ગયેલા શિક્ષકોને કડવો અનુભવ, તેમને કહેવાયું આ વીઆઇપી માટે જ છે: અપમાન કરાતાં શિક્ષકોએ ડિશ મૂકી દીધી હતીવીઆઇપી ટેન્ટમાં પહોંચી ગયેલા શિક્ષકોને કડવો અનુભવ થયો હતો. બાળમેળાના મંત્રી સુનિલ પરમારે જણાવ્યું હતું કે 52 વર્ષથી આવો કોઇ વીઆઇપી ટેન્ટ બનાવામાં આવ્યો નથી. મારી સાથે શિક્ષકો જ્યારે ટેન્ટમાં પહોંચ્યા અને ડિશ લીધી ત્યારે કહેવામાં આવ્યું આ કૂપન નહીં ચાલે વીઆઇપી કૂપન જોઇશે. આ અંગે અમને કોઇ જાણકારી ન હતી. અપમાન કરાતા શિક્ષકોએ ડિશ મૂકી દીધી હતી. આનંદ બજારમાં વીઆઇપી ટેન્ટ બહાર બાઉન્સરો મૂકવામાં આવ્યાઆનંદ બજારમાં પૂરું થાય ત્યાં વીઆઇપી ટેન્ટ બનાવાયો છે. જેની બહાર બાઉન્સરો મૂકાયા છે. ત્યાં માત્ર પદાધિકારીઓ, રાજકીય નેતાઓને જ એન્ટ્રી અપાઈ રહી છે. શિક્ષકોને પ્રવેશ અપાઈ રહ્યો નથી. ટેન્ટની બહાર મૂકેલા બાઉન્સરો કોઇને પણ અંદર જતા અટકાવે છે. પ્રથમવાર ફનફેરમાં ટિકિટના 10 રૂપિયાપ્રથમવાર બાળમેળામાં ફનફેરનું આયોજન કરાયું છે. જેમાં 6 સ્ટોલ ઉભા કરાયા છે. 10 રૂપિયા પ્રમાણે તેમાં વિવિધ ગેમ રમી શકાય છે. જેમાં રીંગગેમ, શુટીંગ, બોલ ગેમ, તીર ગેમ, ટેનિસ બોલ, બોલની ગેમ રખાઈ છે. જેમાં બાળકોએ પણ પૈસા ચૂકવીને રમવાનું રહેશે. પારદર્શક વહીવટ માટે બાળમેળાનું યુપીઆઇ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યુંસેફટીનું ધ્યાન રાખીને આનંદબજારમાં સેન્ટ્રલ કીચર તૈયાર કર્યું છે. દરેક સ્ટોલ પર ગેસના બોટલો અત્યાર સુધી રહેતા હતા. જે વ્યવસ્થા દૂર કરવામાં આવી છે. પારદર્શક વહીવટ માટે બાળમેળાનું યુપીઆઇ એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. જેથી 10 રૂપિયાનો પણ હિસાબ મળી રહે. > આદિત્ય પટેલ-ચેરમેન, શિક્ષણ સમિતિ સ્ટોલ પર શિક્ષકોની જગ્યાએ ખાનગી કેટરર્સના માણસોએ કબ્જો જમાવ્યો આનંદ બજારમાં માત્ર 20 સ્ટોલ જ ઉભા કરવામાં આવ્યા છે. બાળમેળામાં પરંપરા પ્રમાણે શિક્ષકો સાથે રહીને બાળકો નાસ્તો તૈયાર કરે અને તેનું સંચાલન અને વેચાણ કરવામાં આવતું હોય છે. જોકે આ વખતે ખાનગી કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાથી તેમના માણસો જ દરેક સ્ટોલ પર જોવા મળ્યા હતા અને બાળકોને ઉભા રાખી દેવાયા હતા. રાત્રે 7.15 વાગ્યે આનંદબજાર બંધ કરી દેવાતા બાળકો-વાલીઓ નાસ્તાથી વંચિત ખાનગી કેટરર્સ દ્વારા રાત્રે 7.15 વાગ્યે જ આનંદબજાર બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે બાળમેળામાં આવેલા બાળકો અને વાલીઓને કોઇ પણ નાસ્તો મળ્યો ના હતો. બાળમેળામાં કાર્યક્રમો રાત્રે 9 વાગ્યા સુધી ચાલ્યા હતા. દર વર્ષે બાળમેળાના કાર્યક્રમો પતે ત્યાં સુધી આનંદબજાર ખુલ્લુ રહેતું હોય છે.
સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા 21 જાન્યુઆરીએ સયાજીગંજ સ્થિત વાકળ સેવા કેન્દ્ર ખાતે વિશેષ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આ સભા ચેરમેન કોલેજિયમ ભરત સ્વામીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભાનું સંચાલન ચેમ્બર સચિવ વિજય શાહ દ્વારા કરાયું હતું. ચેરમેન ભરત સ્વામી દ્વારા ચેમ્બરના બંધારણમાં સૂચિત સુધારા સભાસદો સમક્ષ રજૂ કરાયા હતા. સભ્યોનાં સૂચનો તથા અભિપ્રાયો ધ્યાનમાં લઈ સુધારેલ બંધારણને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી. આ સભામાં પ્રેસિડેન્ટ એમેરિટ્સ ભાસ્કર પટેલ, ચેમ્બરના વરિષ્ઠ સભ્યો, વર્તમાન પ્રમુખ દીપક અમીન, ચેમ્બર સચિવ ધર્મેશ ગાંધી, કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાસ્કર ઇનસાઇડસભ્યની સંખ્યા વધારાશે, સંસ્થામાં મહત્ત્વની પોસ્ટ માટે તમામ પદનો અનુભવ પણ જોઇશેસેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટમાં સભ્ય સંખ્યા વધારવામાં આવશે. સભ્યોને ત્યાં નોકરી કરતા કર્મચારીને પણ મતદાન નહીં કરવાની શરતે સભ્ય બનાવાશે. ઉપરાંત પ્રમુખ, ટ્રેઝરર અને સેક્રેટરી માટે તમામ પદનો અનુભવ ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો હતો.
શહેરના પાણીગેટ, કારેલીબગ, માંડવી સહિતના સબડિવિઝનના 16 ફીડરનું 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી સમારકામ કરાશે. જેને ગલે 40 હજારથી વધુ લોકોને વીજ કાપથી હેરાન થવું પડશે. શહેરના વિવિધ 16 ફીડર પર અલગ-અલગ તારીખે વીજ કાપ કરીને ટીમો દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવનાર છે. 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી સવારે 7થી 11 વાગ્યા સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં વીજ પુરવઠો બંધ રહેશે તેમ એમજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો શરૂ કરી દેવાશે. વીજ ગ્રાહકને કોઈ ફરિયાદ કરવી હોય તો તે ટોલ ફ્રી નંબર 18002332670 પર કરી શકશે. આગામી દિવસમાં શહેરના જવાહરનગર, ગોરવા, તરસાલી, વાડી, લાલબાગ સહિતના વિસ્તારોમાં પણ વીજકાપ કરવામાં આવશે. એમજીવીસીએલ દ્વારા જુદી-જુદી તારીખ નક્કી કરીને સમારકામ કરવાની કામગીરી કરાશે. વિવિધ ટીમો બનાવીને આખા શહેરમાં કામગીરી કરાશે, તેમ એમજીવીસીએના અધિકારીએ જણાવ્યું હતું. જે દરમિયાન વીજ કાપને કારણે લોકોને હેરાન થવાનો વારો આપશે. વાયર-ફીડરમાંથી પતંગ-દોરા કાઢવાની ડ્રાઈવ શરૂતાજેતરમાં જ ઉત્તરાયણ પૂર્ણ થઈ છે. વિવિધ સ્થળે વાયરો, ફીડર પર પતંગ અને દોરા ફસાઈ ગયાં છે. જેને દૂર કરવા એમજીવીસીએલ દ્વારા કામગીરી કરાશે. હાલ ઠંડી હોવાથી વીજ માગ ઓછી છે ત્યારે વિવિધ વિસ્તારના ફીડર પર વીજકાપ મૂકીને સમારકામ કરાશે. એમજીવીસીએલ દ્વારા ખાસ ટીમો બનાવી દેવાઈ છે. આયોજન કરી વધુ લોકોને એક સાથે અસર ન થાય તેવી રીતે સમારકામ કરવામાં આવશે. કયા સબડિવિઝનમાં ક્યારે કામગીરી કરાશે?
શહેરના સમામાં શુક્રવારે ભારે દડમજલ બાદ વન વિભાગને હાથ લાગેલા શિયાળને 24 કલાક કમાટીબાગના રેસ્ક્યૂ સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રખાયું હતું. વન વિભાગે શિયાળનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો હતો. જો વન્ય જીવમાં કોઈ રોગ હોય તો અન્યને પણ લાગી શકે છે. તેના મુક્ત વિચરણ દરમિયાન કૂતરાથી લઈ અન્ય પ્રાણીઓ પણ તેનો ભોગ બની શકે છે, તે માટે શિયાળના તમામ મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. વડોદરા આરએફઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યા મુજબ શિયાળ મેડિકલ ટેસ્ટમાં ફિટ જણાયું હતું. તેના બિહેવિયરનું ઓબ્ઝર્વેશન કરી 24 કલાક બાદ વન્ય ક્ષેત્રમાં છોડી મૂકાશે. વન્ય જીવને નુકસાન ન પહોંચે તેની પ્રાથમિકતાવન્ય જીવને રેસ્ક્યૂ કરતી વખતે તેને નુકસાન ન પહોંચે અને વન્યજીવ દ્વારા નાગરિકને પણ નુકસાન ન પહોંચે તેની ખાસ કાળજી રખાય છે. વન વિભાગ દ્વારા આ વિષયોને ધ્યાનમાં રાખી શિયાળને રેસ્ક્યૂ કરાયું હતું. > કરણસિંહ રાજપૂત, આરએફઓ
વેધર રિપોર્ટ:પહાડી વિસ્તારોની બરફ વર્ષાની અસર,પારો 50 ઘટી 12.80 થયો, આકરી ઠંડીનો અનુભવ
હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઠંડીમાં વધારો થયો છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે એક જ દિવસમાં પારો 5 ડિગ્રી ઘટ્યો હતો. લઘુતમ તાપમાનનો પારો 12.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો. શહેરમાં 7 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે, જેને પગલે શહેરમાં ઠંડીની અસર વર્તાઇ રહી છે. એક જ દિવસે વડોદરામાં 5 ડિગ્રીમાં ઘટાડો થતાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શુક્રવારે લઘુતમ તાપમાનનો પારો 17.8 ડિગ્રી નોંધાયો હતો. જેમાં એક જ રાત્રમાં 5 ડિગ્રી ઘટીને પારો 12.8 ડિગ્રી પર પહોંચી જતાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. શનિવારે મહત્તમ તાપમાનનો પારો 25.8 ડિગ્રી નોંધાયો હતો. દિવસના તાપમાનમાં પણ 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં દિવસભર હૂૂંફાળું વાતાવરણ રહ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ 70 ટકા નોંધાયું હતું, જ્યારે સાંજે ભેજનું પ્રમાણ 46 ટકા નોંધાયું હતું. હવાનું દબાણ 1016.3 મિલિબાર્સ નોંધાયું હતું. પવનની ઝડપ 7 કિમી રહી હતી. જેના પગલે ઠંડા પવનો દિવસભર ફૂંકાતા ઠંડી અનુભવાઇ હતી. ભાસ્કર એક્સપર્ટ20મીએ પારો 12.2 ડિગ્રી નોંધાયો હતોઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે અને દક્ષિણના ભેજવાળા પવનોને કારણે અગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડો થશે. લઘુતમ તાપમાનનો પારો 15 થી 16 ડિગ્રી પર પહોંચી જશે. ત્યારબાદ ફરી એકવાર ઠંડીમાં વધારો થશે અને લઘુતમ તાપમાન 12 થી 13 ડિગ્રી પર આવશે. જે જાન્યુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધી જળવાઇ રહશે. ફેબ્રુઆરી મહિનામાં ઠંડીમાં ઘટાડો શરૂ થશે. - મુકેશ પાઠક, હવામાન નિષ્ણાત
રાજ્યમાં આ વર્ષે મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાની છે. જેને ધ્યાનમાં રાખી પાલિકા આગામી 29 જાન્યુઆરીએ વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અને રિવાઇઝ બજેટ રજૂ કરશે. ગત વર્ષે 6200 કરોડના બજેટ મુકાયું હતું, આ વર્ષે તેમાં 900 કરોડનો અંદાજિત વધારો કરવાનું નક્કી કરાયું છે. ડ્રાફ્ટ બજેટ રૂા. 7100 કરોડની આસપાસ રજૂ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જોકે કચરાની સફાઇ પાછળ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટના નિભાવણી સાહિતનું અંદાજિત 320 કરોડનું ભારણ વધ્યું હોવા છતાં ચૂંટણીના કારણે વેરામાં વધારો નહિ કરાય. પાલિકાની આ વર્ષે ચૂંટણી યોજવાની છે, જેને ધ્યાનમાં રાખી પાલિકાનું કર દર વિનાનું બજેટ આપશે. વર્ષ 2024માં શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ પણ ગત વર્ષે મ્યુનિ. કમિશનરે 50 કરોડનો સફાઇ વેરો ઝીંક્યો હતો. જોકે વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખી 50 કરોડનો વેરો ફગાવ્યો હતો. જોકે આ વર્ષે પરિસ્થિતિ અલગ છે. પાલિકાએ છેલ્લાં 2 વર્ષમાં રૂા.4800 કરોડના વિકાસનાં કામોને મંજૂરી આપી છે. જેમાં મોટાભાગનાં કામો થતાં 2 થી 3 વર્ષ થશે અને ચુકવણાં થતાં 3 વર્ષ થશે. નવી કોઈ આવક ઊભી કરાઈ નથી અને સફાઇ અને સ્માર્ટ સિટીનાં કામોના નિભાવણીનો ખર્ચ મળીને રૂા.320 કરોડ ઉપરાંતનું ભારણ વધ્યું છે. જોકે પાલિકાની ચૂંટણીને કારણે વેરામાં વધારો કરવાનું પાલિકાનું કોઈ આયોજન નથી. વેરો તો નહીં વધે પરંતુ એન્વાયર્ન્મેન્ટ ઇમ્પ્રુમેન્ટ ચાર્જની જેમ યુઝર ચાર્જ નાખવાની વિચારણા ચાલી રહી છે અને લાગતોના દર વધારીને આવક વધારશે તેવી માહિતી મળી છે. પાલિકા પર વાર્ષિક 320 કરોડનું ભારણ વધ્યું1. વિકાસનાં કામોના ટેન્ડરના અંદાજિત ભાવ કરતાં 10 થી 30 ટકા ઊંચા આવતાં રૂા. 120 કરોડનું ભારણ વધ્યું2. સાતમું પગાર પંચ લાગુ થતાં તેનો 34 કરોડનો બોજો પાલિકા પર3. સફાઇના ડોર ટુ ડોરના વાહનનું નવું ટેન્ડર થતાં પાલિકાના માથે વાર્ષિક 150 કરોડનું ભારણ વધશે4. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટના નિભવાણીનો 20 કરોડ ખર્ચ પણ પાલિકા ભોગવશે ચૂંટાયેલી પાંખે વેરામાં વધારો કરવા સૂચન કર્યુંબજેટની બેઠકોમાં અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખે કામો-આવક વધારવા અને વેરો વધારવો જોઈએ કે કેમ તે અંગે ચર્ચા કરી હતી. સૂત્રો મુજબ ચૂંટાયેલી પાંખે વેરો વધારવા સૂચન કર્યું છે. વહીવટી તંત્ર વેરો વધારવાના મૂડમાં નથી. યુઝર ચાર્જ એટલે શું : નાગરિકોને ઘર સુધી પાણી સહિતની સેવા પહોંચાડવાનો ચાર્જવીજ-ટેલિફોન કંપનીને યુઝર ચાર્જ લે છે તેમ પાલિકાની પણ યૂઝર ચાર્જ લેવાની વિચારણા છે. જેમાં પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઘર કે વિસ્તાર સુધી પહોંચાડાય છે તેનો ચાર્જ લેવાશે. વેરો અને યુઝર ચાર્જ અલગ-અલગ છે. વર્ષ 2023માં રૂા.80 કરોડનો વેરો વધાર્યો હતો2021માં પાલિકાની ચૂંટણી બાદ 2023માં વેરો વધાર્યો છે. 4700 કરોડના બજેટમાં 80 કરોડનો વેરા વધારો કર્યો હતો. એન્વાયર્ન્મેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જના 5 કરોડ વસૂલે છે.
સમાનો 17 વર્ષનો કિશોર ધો.11ની પરીક્ષાને લઈ ડિપ્રેશનમાં આવી જતાં ઘરેથી 3 લાખ લઈ નીકળી ગયો હતો. સમા પોલીસે 2 દિવસ બાદ તેને ગોવાના બિચ પર આરામ કરતાં શોધી કાઢ્યો હતો. સમા-સાવલી રોડનો કિશોર ધો.11માં છે, તેની બહેન યુપીએસસીની તૈયારી કરે છે. મંગળવારે રાતે 12 વાગ્યે તે બહેન-માતાને ગુડ-નાઇટ કહી સૂવા જતો રહ્યો હતો. જોકે સવારે 9-30 વાગે કામ માટે મહિલા આવી તો દરવાજો ખુલ્લો હતો. જેથી જાણ કરતાં બહેન-માતાએ તપાસ કરી હતી, પણ કિશોર ન મળ્યો, જ્યારે તિજોરીમાં મૂકેલા બહેનના યુપીએસસીના ક્લાસની ફી સહિત 3 લાખ ગાયબ હતા. કિશોરનો ફોન બંધ હતો. સ્કૂલના શિક્ષકને તેણે આજે આવું નહીં તેવો મેસેજ કર્યો હતો. જેથી પરિવારે સમા પોલીસને જાણ કરતાં શોધખોળ શરૂ કરી હતી. આખરે કિશોર શનિવારે ગોવાના આરામ બોલના બાઘા બીચ પરથી મળ્યો હતો. પોલીસે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. CCTVમાં કિશોર ઘરે નીકળતો દેખાયો હતોકિશોર ઘરેથી નીકળી જતાં પોલીસે જુદી-જુદી ટીમ બનાવી શોધખોળ કરી હતી. તે ઘરેથી બેગ લઈને નીકળતો સીસીટીવીમાં દેખાયો હતો. ત્યારબાદ ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે કિશોરને શોધ્યો હતો.> બી.બી.કોડિયાતર, પીઆઈ, સમા પોલીસ સ્ટેશન મુંબઈથી મિત્રને લઈ ગોવા જતો રહ્યો હતોકિશોર ઘરેથી રાત્રે પોણા એક વાગે નીકળી કેબ મારફતે મુંબઈ પહોંચી ગયો હતો. તેણે મુંબઈથી બીજા એક મિત્રને સાથે લીધો હતો અને તેઓ બીજી કેબમાં ગોવા પહોંચી ગયા હતા. બંને મિત્રો બીચના રિસોર્ટ પર રોકાયા હતા. પોલીસ પહોંચી ત્યારે મિત્રો બીચ પર બિન્ધાસ્ત રીતે બેસેલા જોવા મળ્યા હતા. ભાસ્કર ઇનસાઇડલોકેશન ન મળે એટલે જૂનું સિમ નાખ્યું 2 દિવસમાં રૂા. 50 હજાર વાપરી દીધાકિશોરે પોતાનું સિમકાર્ડ ફોનમાંથી કાઢી નાખ્યું હતું. કોઈ તેનો સંપર્ક ન કરી શકે એટલે તેને ઘણા સમયથી પડી રહેલું જૂનું સિમકાર્ડ ચાલુ કરી દીધું હતું. પોલીસે ફોનમાં એક્ટિવ થયેલા સિમકાર્ડના લોકેશનને આધારે તેને શોધી કાઢ્યો હતો. પોલીસના અંદાજ મુજબ તેણે 2 દિવસમાં 50 હજાર વાપરી નાખ્યા હતા. તે પોલીસને કહેતો કે, હું અઠવાડિયા બાદ ઘરે પરત આવી જવાનો હતો.
લોકદરબારમાં રજૂઆત:રણાસણમાં 3 તાલુકા, બે જિલ્લાની સરહદ હોઇ પોલીસ સ્ટેશન બનાવો
તલોદ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અને કાયદા અને વ્યવસ્થા માટેના પ્રશ્નો માટે લોક દરબારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે તલોદ પીઆઇ ચેતનસિંહ રાઠોડે ઉપસ્થિત સૌ સરપંચો અને આગેવાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહિયલના નાગરિકે તલોદ મોડાસા રેલવે પર નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજની કામગીરી સંદર્ભે ભારે વાહનો માટે કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા અપીલ કરાઇ હતી. કાબોદરા ગામના આગેવાન માવજીભાઈ સુતરિયાએ રણાસણમાં ત્રણ તાલુકા અને બે જિલ્લાની સરહદ છે તો રણાસણમાં પોલીસ સ્ટેશન બનાવવા માંગણી કરી હતી. હરસોલના અશોકભાઈ પટેલે અમદાવાદ મોડાસા હાઇવે પર આવેલ હરસોલ ચાર રસ્તાથી લઈને હરસોલ બસ સ્ટેશન સુધી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સીસીટીવી નાખવા માંગણી કરી હતી. લોક દરબારમાં આગેવાનો તરફથી રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા તલોદ પોલીસને ખાસ સૂચન કર્યું હતું તેમણે વધુમાં જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુના અને ડિજિટલ એરેસ્ટના બનાવોમાં લોક જાગૃતિ આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપી તલોદ પીઆઇની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા.
તેરા તુજકો અર્પણ:અરવલ્લીમાં ગત વર્ષે ગુમ અને ચોરી થયેલ 12 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપાયા
અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિસ્તારો અને અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગત વર્ષ દરમિયાન ગુમ થયેલ જુદી જુદી કંપનીના 12 મોબાઈલ એલસીબીએ શોધી કાઢ્યા હતા. જિલ્લામાં યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એસપી મનોહરસિંહ જાડેજાના હસ્તે રૂ. 239159ના 12 મોબાઇલ મૂળ માલિકોને પરત કરાયા હતા. જિલ્લામાં વર્ષ 2024 થી 2025 દરમ્યાન જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ચોરી થયા હોવાનું અથવા ગુમ થયા હોવાનું નોંધાતા એલસીબીના પીઆઇ એમ.એચ. ઝાલાએ અને સ્ટાફે ટેકનિકલ વિભાગના સ્ટાફ મારફતે CEIR PORTAL ની મદદથી ગુમ થયેલ રૂ.239159 ના જુદી જુદી કંપનીઓના 12 એન્ડ્રોઈડ મોબાઈલ શોધી કાઢયા હતા. ચોરી થયેલા ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને પરત સોંપવા મોડાસામાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકોને પરત સોંપાયા હતા.
પ્રાંતિજના પલ્લાચરના ખેડૂત વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રાસાયણિક ખેતીના ચક્ર વ્યૂહમાંથી બહાર નીકળી સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવી આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. વિષ્ણુભાઈ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં દવાઓ અને ખાતરના વધુ પડતાં ઉપયોગથી ખર્ચ વધતો હતો અને જમીનની ફળદ્રુપતા ઘટતી જતી હતી. આ પરિસ્થિતિમાં તેમણે આત્મા પ્રોજેક્ટ અને સુભાષ પાલેકરજીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી. વર્ષ 2014માં નાના પાયે શરૂ કરેલી પ્રાકૃતિક ખેતી આજે તેમના સમગ્ર ખેતરમાં વિસ્તરી છે. તેમણે પોતાના ફાર્મ પર એક ગૌશાળા બનાવી છે જેમાં 35 દેશી ગાયો છે. આ ગાયોના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ જીવામૃત, ઘનજીવામૃત અને રોગ-જીવાત નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને નીમાસ્ત્ર જેવી પ્રાકૃતિક દવાઓ જાતે બનાવે છે. જીવામૃતના ઉપયોગથી જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ વધ્યા છે, જેનાથી જમીન પોચી અને ફળદ્રુપ બની છે. કાર્બનનું પ્રમાણ વધતા પાકમાં રોગનું પ્રમાણ નહિવત થઈ ગયું છે.
ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા:અરવલ્લીમાં ઠંડા પવન શરૂ થતાં ઘઉં પર ખતરો
અરવલ્લી જિલ્લામાં શનિવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે ઠંડા પવનો શરૂ થતાં ખેડૂતોના તૈયાર થઈ રહેલા ઘઉંના પાકનો સોંથ વળવાનો શરૂ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જિલ્લામાં અચાનક વાતાવરણમાં થયેલા ફેરફાર અને ઠંડા પવનો ફૂંકાવવાના કારણે 81,549 હેક્ટરમાં વાવણી કરેલ ખેડૂતોના ઘઉંના પાક ઉપર ખતરો મંડરાયો છે અને આવા વાતાવરણના કારણે પાકમાં ઉત્પાદન ઘટવાની પણ ખેડૂતો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. અરવલ્લીમાં 209979 હેક્ટર ખેડાણ લાયક પિયત જમીન વિસ્તાર આવેલો છે આ વર્ષે ખેડૂતોએ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ખેડૂતોએ 81549 હેક્ટર જમીનમાં ઘઉંના પાકની વાવણી કરી હોવાનું નોંધાયું હતું. ચોમાસુ ઋતુમાં પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ઘઉંની વાવણીમાં પંદર દિવસ મોડા પડ્યા હતા તેમ છતાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2500 થી 3,000 હેક્ટરમાં ઘઉંની વાવણીનો વધારો થયો છે. જિલ્લામાં સૌથી વધુ ઘઉંની વાવણી ભિલોડા તાલુકામાં 19078 હેક્ટરમાં, મોડાસા તાલુકામાં 16166 હેક્ટરમાં થઈ છે. બીજી બાજુ ધનસુરા તાલુકામાં બટાકાની વાવણી વધુ થતાં આ વર્ષે ધનસુરા તાલુકામાં ઘઉંનું સૌથી ઓછું 6187 હેક્ટરમાં વાવેતર થયું છે. ઘઉંના પાકમાં હાલ સિંચન કરવાનું ટાળો જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાના કારણે અને પવનો ફૂંકાતા ઘઉંના પાકો નુકસાની તરફ ધકેલાઈ રહ્યા છે. આ અંગે બીએસસી એગ્રી અશોકસિંહ ચૌહાણ અને તજજ્ઞ ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલના વાતાવરણ વચ્ચે ઘઉંના પાકને ઉભો અને સુરક્ષિત રાખવા પાકમાં હાલ સિંચન કરવાનું ટાળવા અનુરોધ કર્યો છે.
પોલીસ કાર્યવાહી:બલોલ સ્કૂલ પાસે 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાયા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સોને સાંથલ પોલીસે બલોલ ગામની સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડીને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બાતમીના આધારે દરોડો સાંથલ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે બલોલ સ્કૂલ પાસે બે શખ્સો ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચનું લાઈવ પ્રસારણ જોઈ પોતાના મોબાઈલ ફોન પર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડી રહ્યા છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા ચાલતો હતો સટ્ટો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા શખ્સો સિલ્વર ભાઈ (Silver Bhai) અને ફેર પ્લે (Fair Play) નામની મોબાઈલ એપ્લિકેશનની મદદથી લાઈવ સ્કોર જોઈને તેના પર ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી બે મોબાઈલ ફોનનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા શખ્સોની વિગત 1. પટેલ ચંદ્રકાંત ભાઈ ઉર્ફે જાડો ભીખાભાઈ: મૂળ રહે. બલોલ, હાલ રહે. કૃણાલ રેસીડેન્સી, રાધનપુર રોડ, મહેસાણા. 2. પટેલ વિશાલકુમાર જયંતીભાઈ: રહે. ત્રીજી ઓળ પરામાં, બલોલ
હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ:દૂધારામપુરામાં કટર મશીનમાં યુવકનો પગ અંદર આવતા કપાઈ ગયો
પાટણના દુધારામપુરા ગામ નજીક કાળજું કંપાવતી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી.લાકડા કાપવાના કટર મશીન પર કામ કરી રહેલા મહેમદપુરના આશાસ્પદ યુવકનો પગ મશીનમાં આવી જતાં ઢીંચણથી નીચેનો ભાગ કપાઈને અલગ થઈ ગયો હતો. માત્ર 18 વર્ષની ઉંમરે યુવકે પોતાનો પગ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પાટણ તાલુકાના મહેમદપુર ગામનો 18 વર્ષીય યુવક સંદીપ બદસંગજી ઠાકોર દુધારામપુરા પાસે લાકડાં કાપવાનું કામ કરી રહ્યો હતો.ત્યારે લાકડાં કાપતી વખતે એક લાકડું કટર મશીનમાં બરાબર બેસતું ન હોવાથી સંદીપે તેને પગથી ધક્કો મારી અંદર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે મશીનની ગતિ તેજ હોવાથી સંદીપનો પગ લપસીને સીધો ચાલતા મશીનમાં આવી ગયો હતો. જોતજોતામાં મશીનમાં યુવકનો પગ ઢીંચણથી નીચેના ભાગેથી કાપીએ કચડાઈ ગયો હતો.યુવકે ચીસ પાડતાં તે સાંભળી તેના પિતા અને ભાઈ દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તડપતા સંદીપને જોઈને તાત્કાલિક 108ને જાણ કરતા યુવકને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ધારપુર સિવિલ લઈ જવાયો હતો.જોકે ઈજા અતિ ગંભીર હોવાથી અને વધુ લોહી વહી ગયું હોવાના કારણે વધુ સારવાર માટે મહેસાણા રીફર કર્યો છે. ફર્સ્ટ પર્સનકટર મશીનમાં પગ કપાતાલોહી લુહાણ દીકરો પડ્યો હતો : પિતાપિતા બદસંગજી ઠાકોરે જણાવ્યું હતું કેદુધરામપુરા ગામે અમે લાકડાં કાપી રહ્યાહતા.ત્યારે કટર મશીનમાં સંદીપનો પગઆવી જતો તે જોરજોર ચીસો પડતા હું અનેમારો મોટો દીકરો દોડી ગયા હતા.જ્યાં કટરમશીન પગ કપાઈને છૂદાઈ ગયો હતો.અનેઅસહ્ય લોહી વહી ગયું હતું.તાત્કાલિકસારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

30 C