Trump Greenland Ambition : આર્કટિક ક્ષેત્રના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની અમેરિકાની મહત્ત્વાકાંક્ષાએ વૈશ્વિક રાજકારણ એટલી હદે ગરમાવ્યું છે કે, જૂગજૂના સાથી અમેરિકા અને અમેરિકા એકબીજાને સૈન્ય કાર્યવાહીની ધમકીઓ આપી રહ્યા છે. ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ એવા ગ્રીનલેન્ડની વસ્તી 55,000 જેટલી છે, જેમાંના મોટાભાગના ઇન્યુઈટ જાતિના છે. અમેરિકા તો હમણાં ચિત્રમાં આવ્યું, બાકી ગ્રીનલેન્ડની પ્રજા તો છેલ્લા ઘણાં વર્ષોથી ડેનમાર્કથી મુક્ત થવાની માંગ કરતી રહી છે. ટ્રમ્પે કોઈપણ ભોગે ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની ઈચ્છા જાહેર કરી હોવાથી હવે રહીરહીને એવી વાત ફેલાવા લાગી છે કે ગ્રીનલેન્ડની સ્વતંત્રતાની ચળવળમાં અમેરિકા ગુપ્ત રીતે ઈંધણ પૂરી રહ્યું છે, જેથી સ્વતંત્ર થયેલા ગ્રીનલેન્ડમાં વિકાસ અને એની સુરક્ષા કરવાના બહાને એના પર કબજો જમાવી શકાય. શું ખરેખર અમેરિકા આવી પેરવી કરી રહ્યું છે? ગ્રીનલેન્ડની સુરક્ષા, વિદેશ નીતિ અને કાયદો ડેનમાર્ક પાસે
108 EMT એ સ્થળ પર ડિલિવરી કરાવી:હિંમતનગરમાં માતા અને નવજાતનો જીવ બચાવ્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 108 એમ્બ્યુલન્સના EMT ભાર્ગવ પટેલ અને પાયલોટ રમેશભાઈએ એક મહિલાની સ્થળ પર જ ડિલિવરી કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો હતો. આ ઘટના હિંમતનગર શહેરના રામેશ્વર મંદિર સામેની ઝૂંપડપટ્ટીમાં બની હતી. રામેશ્વર મંદિર સામેની ઝૂંપડપટ્ટીમાં રહેતા કીર્તિબેન સુમિતભાઈ શર્માને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી, જેને કારણે તેમને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી હતી. માહિતી મળતા જ EMT ભાર્ગવ પટેલ અને પાયલોટ રમેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કીર્તિબેનની ગંભીર સ્થિતિ જોતા, તેમણે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. EMT ભાર્ગવ પટેલે સમયસૂચકતા વાપરીને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. પ્રસૂતિ દરમિયાન બાળકના ગળામાં નાળ વીંટળાઈ ગઈ હતી અને બાળકે ખરાબ પાણી પી લીધું હતું. આ મુશ્કેલ પરિસ્થિતિમાં, EMT દ્વારા ફિઝિશિયન ડૉ. રામાણીની સલાહ લેવામાં આવી હતી અને સમયસર પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ, માતા અને બાળક બંનેને સુરક્ષિત રીતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સેવા બદલ, મીનાબેન અને તેમના પરિવારજનોએ 108 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદના ઔદ્યોગિક હબ તરીકે જાણીતા સાણંદમાં ભારતની સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અઝિસ્ટા સ્પેસ (Azista Space) ની અત્યાધુનિક 'ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી'નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફેક્ટરી દેશનો પ્રથમ ઈન્ટિગ્રેટેડ પ્રાઈવેટ સેટેલાઈટ પ્લાન્ટ બનશે, જે સાણંદની ઓળખ હવે માત્ર જમીન પરના ઉદ્યોગો સુધી સીમિત ન રાખતા અવકાશ સુધી લંબાવશે. ગુજરાત બનશે સ્પેસ ટેકનોલોજીનું નવું કેન્દ્ર આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ડો. વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવતા ગુજરાત હવે સ્પેસ ટેકનોલોજીનું હબ બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ સ્પેસ સેક્ટરને ખાનગી સાહસો માટે ખોલવામાં આવ્યું છે, જેનો સીધો લાભ ગુજરાતને મળી રહ્યો છે. રાજ્ય સરકારની નવી 'સ્પેસ ટેક પોલિસી' હેઠળ યુવાનો માટે રોજગારીની વિપુલ તકો ઊભી કરવામાં આવશે. જે રીતે ગુજરાતે ફાર્મા અને સેમીકન્ડક્ટરમાં નામ મેળવ્યું છે, તેમ હવે સ્પેસ મેન્યુફેક્ચરિંગમાં પણ અગ્રેસર રહેશે. એક જ છત નીચે ડિઝાઇનથી ટેસ્ટિંગ સુધીની સુવિધા સાણંદના ખોરજમાં પ્લોટ નંબર K-19 થી K-24/1 ખાતે નિર્માણ પામનારા આ પ્લાન્ટમાં અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. અઝિસ્ટા સ્પેસ દ્વારા અહીં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી સેટેલાઈટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્લાન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સેટેલાઈટના ડિઝાઇનિંગથી લઈને તેના ફાઈનલ ટેસ્ટિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ એક જ છત નીચે સંપન્ન થશે. આ પ્રોજેક્ટ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક સજ્જતામાં પાયાનું યોગદાન આપશે. સંશોધન અને સ્વદેશી ટેકનોલોજી પર ભાર અઝિસ્ટા સ્પેસના એમ.ડી. શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમદાવાદ એ સેટેલાઈટના હૃદય સમાન ગણાતા 'પેલોડ'નું કેન્દ્ર હોવાથી સાણંદની પસંદગી કરવામાં આવી છે. કંપનીએ સિલિકોન કાર્બાઇડ મિરર જેવી જટિલ ટેકનોલોજીનું ભારતની ધરતી પર જ નિર્માણ કરીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. ISRO અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર થનારો આ પ્લાન્ટ ગ્લોબલ સ્પેસ માર્કેટમાં ભારતને મજબૂત સ્થાન અપાવશે. સાણંદની મલ્ટી-સેક્ટરલ પ્રગતિ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સાણંદ પાસે અત્યાર સુધી ઓટોમોબાઈલ અને ફાર્મા જેવા ઉદ્યોગો હતા, પરંતુ સ્પેસ સેક્ટરની આ ફેક્ટરીથી હવે સાણંદ સંપૂર્ણતા તરફ આગળ વધ્યું છે. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિશન ડાયરેક્ટર નેહા કુમારી (IAS), પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ અને અઝિસ્ટા સ્પેસના ટેકનિકલ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદમાં પાટીદાર સમાજના ત્રીજા સમૂહ લગ્ન:આવતીકાલે 65 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે, સમિતિએ રૂપરેખા આપી
બોટાદમાં ભાલ કાઠિયાવાડ અને પાંચાળ કડવા પાટીદાર સમાજના ત્રીજા સમૂહ લગ્ન આવતીકાલે યોજાશે. આ અંગે આજે સમૂહ લગ્ન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં ભાલ કાઠિયાવાડ અને પાંચાળ વિસ્તારના કુલ 84 ગામોમાંથી 65 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે. લાંબા સમયથી બંધ પડેલા સમૂહ લગ્નને ફરી જીવંત કરવા સમાજ દ્વારા આ આયોજન કરાયું છે. પત્રકાર પરિષદમાં સમૂહ લગ્ન સમિતિના સદસ્ય દિલીપભાઈ સાબવાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં લગ્નમાં થતા બિનજરૂરી કુરિવાજો અને આર્થિક બોજ ઘટાડવા સમૂહ લગ્ન એક મહત્વપૂર્ણ માધ્યમ છે. સમાજના દીકરા-દીકરીઓ સરળ અને સન્માનજનક રીતે લગ્ન કરી શકે તે માટે આ પ્રયાસ કરાયો છે. આ સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એકતા, સામાજિક સમરસતા અને આર્થિક બચતનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહેશે.
હવામાન નિષ્ણાંત અને જ્યોતિષ બાદ હવે હવામાન વિભાગે પણ ગુજરતામાં માવઠાંની આગાહી કરી છે. આજે (22 જાન્યુઆરી) કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, યલો અલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું પડવાની શક્યતા છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે, તાપમાન 2થી 3 ડિગ્રી ગગડ્યુંઠંડીની વાત કરવામાં આવે તો આગામી 24 કલાક બાદ બે દિવસ માટે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 2થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યારબાદ ફરી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આજે અમદાવાદમાં 16.8, અમરેલીમાં 14.6, વડોદરામાં 19, ભાવનગરમાં 17.2, ભુજમાં 15.4, દાહોદમાં 14.3, દમણમાં 18.2, ડાંગમાં 15.7, ડીસામાં 15.3, દીવમાં 16, દ્વારકા 17.8, ગાંધીનગર 16, કંડલા 16.5, નલિયા 10.4, ઓખામાં 19, પોરબંદરમાં 16, રાજકોટમાં 14.8, સુરતમાં 17.8 અને વેરાવળમાં 18 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. થોડા દિવસ પહેલાં પરેશ ગોસ્વામી અને જયપ્રકાશ માઢક પણ આગાહી કરી હતીઅગાઉ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ જ્યોતિષ અને હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે પણ જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, બરફવર્ષા, ઠંડીની લહેર અને ધુમ્મસ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીની લહેર આવશે. ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21થી 25 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડી વધારે લાગશે.
મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક (SP) મુકેશકુમાર પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક (DySP) જે.એમ. આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા બાઈક ચાલકોને દાતાના સહયોગથી પોલીસ વિભાગ દ્વારા આશરે 100 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમને નિયમિતપણે હેલ્મેટ પહેરવા માટે ટકોર પણ કરવામાં આવી હતી. બીજી તરફ, જે બાઈક ચાલકો હેલ્મેટ પહેરીને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, તેમનું SP સહિતના અધિકારીઓ દ્વારા ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રયોગનો હેતુ લોકોમાં ટ્રાફિક અવેરનેસ લાવવાનો હતો. સમગ્ર ગુજરાત અને ભારતમાં માર્ગ અકસ્માતોમાં માનવ મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. આ અકસ્માતોમાં મૃત્યુઆંક ઘટાડવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે આવા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન, કેટલાક વાહન ચાલકોને નંબર પ્લેટ ન હોવા બદલ તેમજ રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
ખેરોજ પોલીસે ચોરીના બાઇક સાથે એક ઝડપ્યો:કોટડા ગઢી પાસેથી વડગામમાંથી ચોરાયેલ બાઇક મળ્યું
સાબરકાંઠા જિલ્લાની ખેરોજ પોલીસે કોટડા ગઢી પાસેથી ચોરીના બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ બાઇક બનાસકાંઠાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હતું. ખેરોજ પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ જણાવ્યું હતું કે, ખેરોજ સર્વેલન્સ ટીમના ઇન્ચાર્જ કે.બી. ખાંટ અને તેમની ટીમ કોટડા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પ્રદ્યુમનસિંહને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ મોટરસાઇકલ લઈને કોટડા છાવણીથી કોટડા ગઢી જોટાસણ તરફ આવી રહેલા એક શખ્સને રોકવામાં આવ્યો હતો. મોટરસાઇકલ ચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ સુરેશભાઈ જવીયાભાઈ લૌર (ઉંમર 33, રહે. બડલી, તા. કોટડા છાવણી, જિ. ઉદયપુર, રાજસ્થાન) જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતાં આ બાઇક વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરીની ફરિયાદનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચોરીના બાઇક સાથે આરોપીને ઝડપી પાડી વડગામ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક કાર્યવાહીમાં, હિંમતનગર એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી લીધો છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, હિંમતનગરના મોતીપુરા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી વિજયનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો અંકુશ બ્રિજેશભાઈ ગરાંજે (ઉંમર 27, રહે. 472, અંબિકાનગર, નહેરુનગર છાપરા, માતૃછાયા સોસાયટી નજીક, કુબેરનગર, અમદાવાદ) ઝડપાયો હતો. પોલીસે તેને વિજયનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો 'બોમ્બ', ટ્રેડ ડીલ ફ્રીઝ
(AI IMAGE) Trump EU Trade Deal Frozen: અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધોમાં અત્યારે ભારે કડવાશ જોવા મળી રહી છે. દાવોસ ખાતેની બેઠકમાં યુરોપના નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે પોતાનો સખત રોષ પ્રગટ કર્યો, તો વળતા પ્રહારમાં ટ્રમ્પે પણ મંચ પરથી આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો.
ગોધરા ડેપો દ્વારા પંથકના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ અને મુસાફરોની સુવિધા માટે ગોધરાથી સિમલીયા વાયા ગદુકપુર, તાજપુર છીપા અને મંગળપુરા નવીન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બસ ખાસ કરીને સવાર અને સાંજે સ્કૂલ-કોલેજના સમયને અનુરૂપ ચલાવવામાં આવશે, જેનાથી ગ્રામીણ પંથકના વિદ્યાર્થીઓને અવરજવર માટે મોટી રાહત મળશે. મહત્વની વાત એ છે કે, દેશની આઝાદી બાદ પ્રથમ વખત આ રૂટના ગામોને એસ.ટી. બસ સેવાનો લાભ મળ્યો છે. અગાઉ આ વિસ્તારોમાં પરિવહનની મોટી સમસ્યા હતી, પરંતુ ગોમા નદી પર નવા પુલનું નિર્માણ થતા ગદુકપુર, તાજપુર છીપા, મીરાંપુરી, ધુરાદર, નિકોલા, મંગળપુરા અને બારીયા ફળી જેવા ગામોને બસ સેવા સાથે જોડવાનું હવે શક્ય બન્યું છે. આ નવી બસ સેવા શરૂ કરાવવા માટે સિમલીયા સ્કૂલ-કોલેજના પ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નટવરસિંહ ચૌહાણે લાંબા સમયથી સાંસદ, ધારાસભ્ય અને ગોધરા એસ.ટી. વિભાગીય કચેરી સમક્ષ રજૂઆતો કરી હતી. આ સફળ રજૂઆતના પરિણામે રૂટ કાર્યરત થતા તેમણે જનપ્રતિનિધિઓ અને એસ.ટી. તંત્રનો આભાર માન્યો હતો. નવી બસના પ્રારંભ પ્રસંગે નટવરસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને શાળા-કોલેજનો સ્ટાફ, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોએ ઢોલ-શરણાઈના નાદ સાથે બસને વધાવી હતી. ડ્રાઈવર અને કંડક્ટરનું કુમકુમ તિલક કરી, હારતોરા પહેરાવી અને શ્રીફળ વધેરીને ભારે ઉલ્લાસ સાથે આ ઐતિહાસિક પરિવહન સેવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
પાવી જેતપુરમાં દારૂ ભરેલી XUVનો ડ્રાઈવર ઝડપાયો:બેરીકેટિંગ તોડી ભાગ્યા બાદ પોલીસે ધરપકડ કરી
પાવી જેતપુર પોલીસે વન કુટિર પાસે વિદેશી દારૂ ભરેલી XUV ગાડી સાથે બેરીકેટિંગ તોડીને ભાગી ગયેલા ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા પાવી જેતપુર વન કુટિર પાસેથી પસાર થઈ રહેલી XUV ગાડી નંબર GJ 06 LE 5372માં વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસે તેને રોકવા માટે બેરીકેટિંગ કર્યું હતું. જોકે, XUVનો ચાલક પકડાઈ જવાના ડરથી ગાડી પૂર ઝડપે ભગાવીને વન કુટિર પાસેનું બેરીકેટિંગ તોડીને ભાગી ગયો હતો. પોલીસે તેનો એક કિલોમીટર સુધી પીછો કર્યો હતો. પીછો કરતા ડ્રાઈવર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાંથી રૂ. 1.71 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. ત્યારબાદ પાવી જેતપુર પોલીસે ગાડી માલિકને બોલાવીને પૂછપરછ કરી હતી. ગાડી માલિકે આરોપી ડ્રાઈવર જીગરભાઈ ભરતભાઈ પરમાર, રહે. તરસાલી, વડોદરાને પોલીસ સમક્ષ હાજર કર્યો હતો.પોલીસે આરોપી ડ્રાઈવર જીગરભાઈ પરમારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી 26 જાન્યુઆરીએ હિંમતનગર ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે સાબરકાંઠાના મંત્રી અને પ્રભારી પ્રદ્યુમન વાજા ધ્વજવંદન કરાવશે. પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સામાન્ય રીતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર થતી હોય છે. જોકે, આ વખતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર PSI ભરતી પ્રક્રિયા ચાલુ હોવાથી, ઉજવણીનું સ્થળ બદલવામાં આવ્યું છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી હિંમતનગરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે કરવામાં આવશે. મેદાનમાં મંડપ બાંધવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા દેશભક્તિના ગીતો અને બેન્ડની ધૂન પર પરેડની પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી છે.
દ્વારકામાં 560 લિટર દેશી દારૂ ઝડપાયો:જામનગરનો શખ્સ પકડાયો, ભાણવડ અને કલ્યાણપુરમાં પણ કાર્યવાહી
સ્થાનિક ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.એલ. બારસીયા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી હતી. એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા અને હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ગઈકાલે બુધવારે વહેલી સવારે દ્વારકાથી આશરે 15 કિલોમીટર દૂર ધ્રેવાડ ગામના પાટીયા પાસેથી એક આર્ટિગા મોટરકાર (જી.જે. 10 ડી.ઈ. 5312) ને અટકાવવામાં આવી હતી. વાહનનું ચેકિંગ કરતા તેમાંથી 560 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 1 લાખ 12 હજારની કિંમતના દેશી દારૂ સાથે જામનગરમાં ગુરુદ્વારા ચોકડી વિસ્તારમાં રહેતા અને મૂળ દ્વારકાના 21 વર્ષીય કિશન દેવાભા મકવાણાની અટકાયત કરી હતી. આ ઉપરાંત, રૂ. 5 લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂ. 6.12 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કિશન મકવાણાએ આ દારૂનો જથ્થો જામનગરના ભાવેશ દેવદાસ ગઢવી અને પાછતરડી ગામના અમરા કરમણ હુણ પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું છે. દ્વારકા પોલીસે કિશન મકવાણાની ધરપકડ કરી અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ખંભાળિયા ડિવિઝનના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ, ભાણવડ વિસ્તારના પી.આઈ. સી.એલ. દેસાઈ અને પી.એસ.આઈ. બી.કે. કડછા દ્વારા પણ દારૂ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ ગઢવી, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી બાતમીના આધારે, ભાણવડ તાલુકાના ચોખંડા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. ચોખંડા ગામે રહેતા હૈદર ગુલમામદ હાલાના રહેણાંક મકાનમાંથી રૂપિયા 20,000 ની કિંમતનો 100 લિટર દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જોકે, દરોડા દરમિયાન આરોપી હૈદર ગુલમામદ હાલા પોલીસને હાથ લાગ્યો ન હતો. ભાણવડ પોલીસે આ અંગે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી. રાવલ ગામના હનુમાનધાર વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કાના લખમણ ગામી નામના શખ્સને રૂપિયા 21,125 ની કિંમતની વિદેશી દારૂની 65 નાની બોટલ (ચપલા) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ભોજશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાઝ પણ થશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Bhojshala Controversy: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે વસંત પંચમી પર ભોજશાળામાં સરસ્વતી પૂજા અને નમાઝ બંનેની મંજૂરી આપી છે. કોર્ટે મુસ્લિમોને બપોરે 1થી 3 વાગ્યા સુધી જુમ્માની નમાઝ અદા કરવાની મંજૂરી આપી છે. સાથે જ તંત્રને પરિસરમાં બેરિકેડિંગ તથા અલગ અલગ પ્રવેશ અને નિકાસની વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે. હિન્દુઓને પૂજા અને મુસ્લિમોને નમાઝની મંજૂરી, નમાઝનો સમય નક્કી
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે પણ નાગરિકોને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં મકાન લાગ્યા છે. લાભાર્થીઓને ઝડપી મકાન મળે તેના માટે તેમના પુરાવા એકત્રિત કરવા માટે આજે 22 જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોનની ઝોનલ ઓફિસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જે નાગરિકોને મકાન લાગ્યા છે તેમણે પોતાના રહેણાંક અને ઓળખ એમ બંનેના પુરાવા ઝોનલ ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લાભાર્થીઓને મેસેજ કરવામાં આવ્યા છે ત્યારે આ લોક દરબાર યોજી પુરાવા મેળવવામાં આવ્યા છે. ઝોનલ ઓફિસ પર આજે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી લોક દરબારનું આયોજનમળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS- ફેઝ 2થી 5, ફેઝ- 6, EWS Type-2 અને LIG ફેઝ-2ના વિવિધ આવાસોની ફાળવણીની પ્રક્રિયા ઝડપી બને તે હેતુસર આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમામ ઝોનની ઝોનલ ઓફિસ ખાતે જે પણ લાભાર્થીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરાવા જમા કરાવવા માટે સ્થળ અને સમયનો મેસેજ કરવામાં આવ્યો હોય તેવા નાગરિકોએ પુરાવા લઈ પહોંચ્યા છે. અલગ અલગ ઝોનલ ઓફિસ ખાતે પુરાવા જમા કરાવવા લાભાર્થીઓની લાઈનો લાગી છે એસ્ટેટ હાઉસિંગ સેલ વિભાગના જણાવ્યા મુજબ જે લાભાર્થી ને તેમના વિસ્તારની સંબંધીત ઓફિસની જાણ અરજદારોને SMSથી તેમના રજીસ્ટર્ડ મોબાઇલમાં કરવા જણાવવામાં આવી છે. જેથી કોમ્પ્યુટરાઇઝડ ડ્રોમાં પસંદગી પામેલ અરજદારોએ તેમને SMSથી જણાવેલા ઝોનના સરનામે જઇ જરૂરી અધિકૃત પુરાવાઓ જમા કરવા આવી રહ્યા છે સવારથી અલગ અલગ વિસ્તારોમાં કુલ 200 જેટલા લાભાર્થીઓ દ્વારા પોતાના પુરાવા રજુ કરી દીધા છે. રહેણાંકના પુરાવા માટેનો એક તથા ઓળખના પુરાવારૂપે એક એમ કોઇપણ બે (નીચે જણાવેલ પૈકીના) પુરાવા રજૂ કરવાના રહેશે. કયા પુરાવા રજૂ કરવાના રહેશે
સુરતના હજીરામાં આવેલી કૃભકો કંપનીના મુખ્ય ગેટ પાસે દીપડો દેખાતા ચકચાર મચી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, દીપડો ગેટની એકદમ નજીક આવીને ઉભો રહે છે અને કેટલીક સેકન્ડો સુધી ખૂબ જ એકાગ્રતાથી ગેટની અંદરની તરફ તાકી રહે છે. જાણે અંદરની હિલચાલ તપાસતો હોય તેમ ગેટની જાળીમાંથી અંદર જોયા બાદ તે ત્યાંથી શાંતિપૂર્વક રવાના થાય છે. ઔદ્યોગિક વિસ્તારમાં દીપડાની આ રીતે ગેટ સુધી આવી પહોંચવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પાંચ સ્થળે પાંજરા મુકાયાકંપનીના ગેટની અંદર તાકી રહેલા દીપડાના ફૂટેજ સામે આવ્યા બાદ વન વિભાગની ટીમ એક્શનમાં આવી છે. દીપડો જે માર્ગેથી આવ્યો હતો અને જ્યાંથી પસાર થયો તે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા કૃભકો કંપનીની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી પાંચ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. દીપડો ગેટની અંદર પ્રવેશવા માંગતો હતો કે કેમ તે દિશામાં પણ વન વિભાગ તપાસ કરી રહ્યું છે અને તેની હિલચાલ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. કામદારોને રાત્રિના સમયે સતર્ક રહેવા તંત્રની અપીલહજીરાના ઔદ્યોગિક એકમોમાં દીપડાના આટાફેરા વધતા વન વિભાગે સુરક્ષાના ભાગરૂપે માર્ગદર્શિકા જાહેર કરી છે. ખાસ કરીને રાત્રિના સમયે ગેટ પાસે તૈનાત સુરક્ષાકર્મીઓ અને શ્રમિકોને વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે. ફૂટેજમાં દીપડો જે રીતે ગેટની અંદર જોઈ રહ્યો છે તે જોતા કામદારોને કામના સ્થળે સમૂહમાં રહેવા અને અંધારાવાળા ભાગોમાં જવાનું ટાળવા સૂચના અપાઈ છે. વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
રાહી ફાઉન્ડેશન દ્વારા બહેરામપુરાના પીરાણા રોડ સ્થિત હવાડા બસ સ્ટેન્ડ પાસેના આંગણવાડી કેન્દ્રના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડીથી રક્ષણ આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્વેટરની સાથે બાળકોને રમકડાં અને બિસ્કિટના પેકેટ પણ આપવામાં આવ્યા હતા. રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ અને નિહારિકા પરીખ આ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન રાહી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી કેન્દ્રના સંચાલિકાઓએ સહયોગ આપ્યો હતો.
ગઢપુરથી ભુજ 320 કિમી પદયાત્રા શરૂ:હરિપ્રકાશદાસજી સ્વામી સાથે 150 ભક્તો જોડાયા, 10 દિવસ ચાલશે
ગઢપુરથી ભુજ ધામ સુધીની 320 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રામાં પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સહિત 150 ભક્તો જોડાયા છે. આ યાત્રા 10 દિવસ સુધી ચાલશે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદીની ભૂમિ ગઢપુર અને કચ્છના ભુજ મંદિર વચ્ચેના આધ્યાત્મિક સેતુને વધુ સુદ્રઢ કરવાનો અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરવાનો છે. યાત્રાના પ્રારંભ સમયે ગઢપુર મંદિરે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. 'સ્વામિનારાયણ' મહામંત્રના નાદ સાથે સૌએ ભુજ તરફ પ્રસ્થાન કર્યું હતું. આગામી 10 દિવસોમાં આ સંઘ સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ગામોમાંથી પસાર થશે. ભક્તો દ્વારા ઠેર-ઠેર સ્વાગત અને દર્શનનો લાભ લેવામાં આવશે. આ પદયાત્રા ભુજ શ્રી નરનારાયણ દેવ મંદિરે પહોંચીને પૂર્ણ થશે.
સુરતમાં KP Human Development Foundation, દ્વારા દત્તક લેવાયેલી નગર પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે 21 જાન્યુઆરી, 2026 ના રોજ શૈક્ષણિક ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, શાળા નંબર 105, 149, 153, 154 અને 338 ના ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને સુમુલ ડેરીની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં બાળકોએ ડેરી ઉત્પાદનો કેવી રીતે બને છે, તેની પેકિંગ પ્રક્રિયા અને સપ્લાય સિસ્ટમ વિશે વ્યવહારિક માહિતી મેળવી હતી. આ ઉપરાંત, શાળા નંબર 105, 153, 154 અને 149 ના બાલવાટિકા તથા ધોરણ 1 ના વિદ્યાર્થીઓને બોટનિકલ ગાર્ડનની મુલાકાત કરાવવામાં આવી હતી. બાળકોએ ત્યાં ટોય ટ્રેનનો પણ આનંદ માણ્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન KP Human Development Foundation ની ટીમ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો સવારથી સાંજ સુધી દરેક વિઝિટમાં હાજર રહ્યા હતા. આ સમગ્ર ફિલ્ડ વિઝિટમાં બાળકો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો ન હતો અને આ આયોજન સંપૂર્ણપણે KP Human Development Foundation ના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં અયોધ્યા રામ મંદિર સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ નંદુબા ઇંગલિશ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિમય વાતાવરણમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સી.બી. પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળાના કુલ 2000 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભવ્ય માનવ સાંકળ અને રામ મંત્રોની આહુતિ આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે 1008 વિદ્યાર્થીઓએ એકસાથે મળીને ‘જય શ્રી રામ’ અને ‘અયોધ્યા રામ મંદિર’ની વિશાળ માનવ સાંકળ રચી હતી. આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યારબાદ, આધ્યાત્મિક શક્તિના સંચાર માટે 108 હવન કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં 1008 વિદ્યાર્થીઓએ શ્રદ્ધાપૂર્વક 1 લાખ રામ મંત્રોના જાપ સાથે આહુતિ આપી હતી. સંસ્કાર સાથે શિક્ષણનો સમન્વય શાળાના પ્રેસિડેન્ટ પંકજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ અંગે પ્રિન્સિપલ ડૉ. મોનિકા શર્માએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે તેમને સંસ્કારી બનાવવા અને ભગવાન રામ જેવા ઉત્તમ ગુણોનું સિંચન કરવું અનિવાર્ય છે. આ પ્રકારના ધાર્મિક આયોજનોથી નવી પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યો દ્રઢ થાય છે. આ સમગ્ર આયોજનમાં શાળાના શિક્ષકો અને સ્ટાફે સાથે મળીને રામ લલ્લાના આગમન પૂર્વે સુરતને રામમય બનાવી દીધું હતું.
સુરત, નાના વરાછા સ્થિત PMSHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272માં 18 જાન્યુઆરી, 2026ના રોજ ભૂતપૂર્વ શિક્ષક-વિદ્યાર્થી સંમેલન અને સન્માન સમારોહ યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા સંચાલિત આ શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમાં વસતા વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન માધ્યમથી કાર્યક્રમ નિહાળ્યો હતો. આ સંમેલનમાં વર્ષ 2003થી 2020 દરમિયાન શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ, તેમજ શાળામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા અથવા અન્ય શાળામાં બદલી કરાવીને ફરજ બજાવી રહેલા શિક્ષકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. શાળાના વર્તમાન વિદ્યાર્થીઓએ ખેસ પહેરાવીને અને સંગીતમય વાતાવરણમાં સૌનું સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઈ.એમ. ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વલ્લભભાઈ સવાણી, બાબુભાઈ વિરડિયા અને રમેશભાઈ વાઘાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ શિક્ષકો જેવા કે નટવરલાલ ચૌહાણ, ઈલાબહેન રાજ્યગુરુ, ચારુલતાબહેન ગોધાણી, કિરીટભાઈ ગુજરાતી, રમાબહેન ખાતરા, હરેન્દ્રભાઈ ભોરણિયા, વિનોદભાઈ મકવાણા, ચેતનબહેન દુધાત્રા, મિતલબહેન કામદાર અને હંસબહેન સખિયાનું સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ પ્રમાણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે તમામ શિક્ષકો અને પ્રતિનિધિરૂપ વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો રજૂ કર્યા હતા. બાબુભાઈ વિરડિયા, મિતેશભાઈ પ્રજાપતિ અને રાજેશકુમાર ધામેલિયાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. વિદેશમાં વસતા વિદ્યાર્થીઓએ પોતાના લેખિત પ્રતિભાવોમાં જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં તેમને જીવન ઘડતરનું જે ભાથું મળ્યું તે આજે પણ ઉપયોગી થઈ રહ્યું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ છોડ અર્પણ કરીને ગુરુ પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક રાજેશકુમાર ધામેલિયાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય મિતેશભાઈ, વિજયભાઈ માણિયા, ચમનભાઈ ચોપડા, ગિરીશભાઈ ગોધાણી, મુકેશભાઈ પ્રજાપતિ તેમજ તમામ શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સક્રિય યોગદાન આપ્યું હતું.
વડોદરામાં પ્રથમ વખત માસિક સુરક્ષા મિશન શરૂ:ડોંગરેજી મહારાજ શાળાની બાલિકાઓને હાઇજિન કીટ અપાઈ
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પુરાવા આધારિત માસિક સુરક્ષા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરામાં આ પ્રકારનું આ પ્રથમ મિશન છે. આ પ્રસંગે શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવભાઈ ઠક્કર, નગરપાલિકા શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, કોર્પોરેટર જાગૃતિબેન કાકા, પ્રોજેક્ટ હેડ વાચા પંડ્યા, સેવાભાવી યોગદિપસિંહ જાડેજા, દીપભાઈ પરીખ અને હાર્દિકભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત પાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર મહિને દીકરીઓને પિરિયડ હાઇજિન કીટ આપવામાં આવશે. આ કીટમાં જરૂરિયાત કરતાં વધુ ૧૦ સેનેટરી પેડ, વેટ ટીશ્યુ, પેપર સોપ, ટાઈમ ટેબલ, પેડના ઉપયોગની ટૂંકી માર્ગદર્શિકા અને ડિસ્પોઝેબલ બેગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માસિક ધર્મ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે તે માટે દરેક શાળાને ગરમ શેક કરી શકાય તેવી ઇલેક્ટ્રિક બેગ પણ આપવામાં આવશે. સંસ્થાનો વિશ્વાસ છે કે માસિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરામાં આ પ્રકારનો પ્રયાસ પ્રથમવાર થયો છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનો છે.
મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટની બી.ઍડ્., વી. ટી. પોદ્દાર બીસીએ અને કૉમર્સ કૉલેજ દ્વારા 21 જાન્યુઆરી, 2026ના રોજ 'ફનફેર-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના 30 સ્ટોલ લગાવી વેપાર કૌશલ્યનો અનુભવ મેળવ્યો હતો. ફનફેરનું ઉદ્ઘાટન મુખ્ય નિર્ણાયક ડૉ. શશી સૈની (ડિરેક્ટર, લીફ એન્ડ લર્ન) અને યુટ્યુબર હેમાબેન દેસાઈ (હેમા’સ ટેસ્ટી ટેલ્સ) દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં ડૉ. શશી સૈનીએ યુવાધનને સ્વાસ્થ્યપ્રદ આહારનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વાહનને પેટ્રોલની જેમ માનવ શરીરને તંદુરસ્ત રાખવા સાત્વિક ભોજન અનિવાર્ય છે. તેમણે આજની પેઢીમાં વધતા સ્ટ્રેસ અને ડિપ્રેશનનું કારણ અયોગ્ય આહાર પદ્ધતિ ગણાવી રાગી, બાજરી અને જુવાર જેવા બરછટ અનાજને ભોજનમાં સામેલ કરવા તથા ભરપૂર પાણી પીવાની સલાહ આપી હતી. સંસ્થાના પ્રમુખ સુધાકરજી માસ્તરે પણ વિદ્યાર્થીઓને બહારના ખોરાકને બદલે ઘરના શુદ્ધ ભોજન તરફ વળવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે વ્યવસ્થાપક ચંદ્રકાંતભાઈ શાહ અને ત્રણેય વિભાગના પ્રધાનાચાર્યો ડૉ. જયશ્રી કાનાણી, ડૉ. ચેતન રાઠોડ અને અજય પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 'ફનફેર-2026'માં વિદ્યાર્થીઓએ કુલ 30 સ્ટોલ પર વિવિધ વાનગીઓ રજૂ કરી હતી. આ દ્વારા વિદ્યાર્થીઓએ વેપારી તરીકે કાર્ય કરીને વેપાર કઈ રીતે કરવો તેનું કૌશલ્ય શીખ્યું હતું. બેસ્ટ સ્ટોલ ડેકોરેશન સ્પર્ધામાં બીકોમના વિદ્યાર્થીઓ બેહેરા મનિષા અને પટેલ એલિસા પ્રથમ ક્રમે રહ્યા હતા. દ્વિતીય ક્રમે બી.ઍડ્. વિભાગના ભટ્ટ વૈષ્ણવી, રોહિત વૈશાલી, ગામી અલ્પા અને ગામીત માનસી આવ્યા હતા. તૃતીય ક્રમે બીકોમ વિભાગના પાટીલ કુમુદ, ખૈરનાર રાધિકા, લખારા ઉર્મિ અને મહારાજ દીપ્તિકુમારી વિજેતા થયા હતા. બેસ્ટ ડિશ સ્પર્ધામાં બી.ઍડ્. વિભાગના બારોટ દર્શન, સોલંકી મહેન્દ્ર, શેખ જુનેદ પ્રથમ ક્રમે રહ્યા હતા. દ્વિતીય ક્રમે બીસીએ વિભાગના મંથા ગણેશ અને કોડી વામશી, જ્યારે તૃતીય ક્રમે બીએસસી (આઈટી) વિભાગના પટેલ તક્ષીલ, ગુપ્તા સૂરજ અને પ્રસાદ પ્રિન્સ વિજેતા બન્યા હતા. તમામ વિજેતાઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ત્રણેય વિભાગના કૉ-ઓર્ડિનેટર ડૉ. પૂજા પંચાલ, પ્રા. રીતુ ભાટીયા, પ્રા. અમૃત વળવી, પ્રા. ખૂશ્બુ પટેલ, ડૉ. ભાવિની મહુવાગરા અને પ્રા. હિમાંશુ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. રિયા સુખિયાજીએ કર્યું હતું.
પરિયા પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો:ઉત્તરાયણ, રમતોત્સવ અને વર્ગ સુશોભનનો સમાવેશ
પરિયા પ્રાથમિક શાળામાં તાજેતરમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, રમતોત્સવ અને વર્ગ સુશોભન સ્પર્ધાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમો પૈકી, ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહભેર જાતે બનાવેલા અને તૈયાર પતંગો મેદાનમાં ચગાવ્યા હતા. શિક્ષકો દ્વારા ઉત્તરાયણનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. શનિવારે શાળામાં રમતોત્સવનું આયોજન થયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો અને રમતોનું મહત્વ સમજ્યા હતા. ત્રીજા કાર્યક્રમ તરીકે વર્ગ સુશોભન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ધોરણ 7, ધોરણ 4 અને બાલવાટિકાના વર્ગો પ્રથમ સ્થાને રહ્યા હતા. વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય કાર્યક્રમોના સંગમથી પરિયા શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓની મજા માણી હતી અને શાળામાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું.
મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રી ગ્રંથની 200મી જયંતી નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. 23 થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત શિક્ષાપત્રી મંથન ગ્રંથનું વિમોચન કરવામાં આવશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ગ્રંથની વિશેષતાઓ જણાવતા કહ્યું કે, આ ગ્રંથમાં 25 જેટલા વિષયો પર વિવેચન અને પ્રેરણાદાયી પ્રસંગોનો સમાવેશ કરાયો છે. દરેક વિષયની શરૂઆતમાં ચિત્રો પણ આપવામાં આવ્યા છે. વિશેષ રૂપે, શિક્ષાપત્રીમાં દર્શાવેલી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવા પર લાગુ પડતી ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમોનો પણ ઉલ્લેખ કરાયો છે. આનાથી શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન ન કરવાથી કાયદેસર રીતે પણ ગુનેગાર બની શકાય છે તેનો ખ્યાલ આવે છે. શિક્ષાપત્રી મંથન ગ્રંથમાં નૈતિક સદાચાર, ધર્મ આચરણ, સત્સંગીના નિત્યકર્મો, વ્યવહારિક અને સામાજિક-વ્યવસાયિક નીતિ, ગૃહસ્થો માટેની મર્યાદાઓ, વ્યસનમુક્તિ, આહાર શુદ્ધિ, અહિંસા ધર્મ, જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ, જીવ-માયા-ઈશ્વર, સત્સંગી-સાધુ-સ્ત્રીઓ અને બ્રહ્મચારી આદિના ધર્મો જેવા ૨૫ પ્રકરણોનો સમાવેશ થાય છે. આ ગ્રંથનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હોવાથી, ૧૯થી વધુ સંતો, મહંતો, મુખ્યમંત્રી, સાહિત્યકારો અને દેશ-વિદેશના અખબારના તંત્રીઓ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ તેના પર પોતાના મંતવ્યો આપ્યા છે. પરમ વંદનીય મહંતસ્વામી મહારાજ, ગુજરાતના મુખ્યમંત્રી, હરદ્વારના આચાર્ય મહામંડલેશ્વર ડો. સ્વામી કૈલાશાનન્દ ગિરીજી મહારાજ, સ્વામી ચિદાનંદજી મહારાજ, લંડનના સી.બી. પટેલ, જગન્નાથપુરી વિશ્વવિદ્યાલયના પ્રો. શત્રુઘ્ન પાણિગ્રાહી, ગુજરાતી વિશ્વકોશ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો તેમજ અનેક મૂર્ધન્ય સાહિત્યકારોએ આ ગ્રંથને શાબ્દિક પુષ્પાંજલિ અર્પણ કરી છે. શિક્ષાપત્રી મંથન ગ્રંથનું વિમોચન 23 જાન્યુઆરીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ - હીરાપુર ખાતે થશે. આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામી દ્વારા આ જ ગ્રંથની કથા-પારાયણ પણ યોજવામાં આવશે.
સુરતના કતારગામ વિસ્તારના લાખો લોકોની જેની ચાતક નજરે રાહ જોવાતી હતી, તે રત્નમાલા બ્રિજ આખરે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સુરત પ્રવાસ છેલ્લી ઘડીએ રદ થતા, હવે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગોવિંદ ધોળકિયા અને મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં આ બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીનો પ્રવાસ રદ થતા તર્ક-વિતર્કધાર્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 23 જાન્યુઆરીના રોજ સુરત આવવાના હતા. તેમના હસ્તે આહીર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવાની સાથે કતારગામ ઓડિટોરિયમ ખાતેથી સુરત મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું હતું. જોકે, અચાનક જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ થતા અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવા છતાં છેલ્લી ઘડીએ ફેરફાર થતા આશ્ચર્ય સર્જાયું છે. વિવાદો અને 'તારીખ પે તારીખ'નો અંતરત્નમાલા બ્રિજ છેલ્લા કેટલાક સમયથી ભાજપ માટે અને પાલિકા માટે માથાનો દુખાવો બન્યો હતો. આ પ્રોજેક્ટમાં થયેલા વિલંબને કારણે સ્થાનિકોમાં ભારે રોષ હતો. આ બ્રિજ અંદાજે 62.84 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજની સમયમર્યાદા દોઢ વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગઈ હતી, છતાં કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હતી. કતારગામ અને અમરોલી વચ્ચે સતત રહેતી ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. 10 લાખ લોકોને મળશે મોટી રાહતઆજે કાસાનગરથી અમરોલી જતા બ્રિજના હિસ્સાને વિધિવત રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા અને મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજ કાર્યરત થવાથી કતારગામ અને અમરોલી વિસ્તારના લાખો લોકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે અને ઈંધણ તેમજ સમયની પણ બચત થશે.
ડો. સુભાષ મહિલા કોલેજના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ વિભાગના અધ્યક્ષ ડો. દક્ષા ચૌહાણે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્ત્રી જીવનની અનિશ્ચિતતા જ તેનું ઘડતરકાળ છે અને તેમાંથી જ જીવન જીવવાનું ભાથું મળે છે. ડો. ચૌહાણે વિદ્યાર્થીઓને પોતાના ધ્યેય સિદ્ધ કરવા માટે સ્વયં પ્રયત્નશીલ રહેવાની હાકલ કરી હતી. તેમણે વાંચન અને લેખનના મહત્વ પર ભાર મૂક્યો હતો, જે દરેક યુગમાં પ્રસ્તુત રહ્યું છે અને રહેશે. તેમણે દીકરીઓને અંધશ્રદ્ધા અને કુરિવાજોથી મુક્ત રહેવાની શીખ આપી હતી, અને કહ્યું હતું કે 'ભણતર એ જ ત્રીજું નેત્ર છે'. તેમણે સમાજની સુખાકારીમાં સ્ત્રીઓના યોગદાનની ચર્ચા કરી હતી અને સ્ત્રીઓને પરિવારની જવાબદારીમાં પૂરક બની શકે તેવી રોજગારી તરફ વળવા અપીલ કરી હતી. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે આવા વ્યાખ્યાનોથી વિદ્યાર્થીઓને મળતા પ્રત્યક્ષ શિક્ષણના લાભ અને તેના સમાજ જીવનના ઘડતરમાં યોગદાન વિશે વિસ્તૃત વાત કરી હતી. તેમણે સંસ્થાના સ્થાપક પેથલજીભાઈના સ્મરણો વાગોળી દીકરીઓના શિક્ષણ વિશેની તેમની દ્રષ્ટિની ચર્ચા કરી હતી. કાર્યક્રમના ઉદ્દેશ્ય અને આભારવિધિ સંસ્થાના અધ્યાપક નરેશ સોલંકીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનાબહેન ચુડાસમાએ કર્યું હતું. સંસ્થાના સ્થાપક અને જાહેર જીવનના અગ્રણી જવાહરભાઈ ચાવડાએ આ ઉપક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં મોડીરાતે એક યુવતી પર છરી વડે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહીને યુવકે યુવતીને બેકરીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવકે અગાઉ પણ યુવતીના સંબંધીઓ પર તલવાર વડે હુમલો કર્યો હતો. જે કેસ હજુ કોર્ટમાં ચાલે છે. યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખે હુમલો કર્યોબેહરામપુરા વિસ્તારમાં આવેલી રસુલ કડીયાની ચાલીમાં રહેતી યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખ (રહે, કસાઈ જમાની ચાલી, બહેરામપુરા) વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. આ યુવતીના શહેબાઝ સાથે લગ્ન થયા હતા.પરંતુ તેમની વચ્ચે મનમેળ નહીં આવતા છૂટાછેડા લઈ લીધા હતા. યુવતીએ બીજા લગ્ન કર્યા હતાત્યાર બાદ તેણીએ અન્ય યુવક સાથે બીજા લગ્ન કરી લીધા હતા. યુવતીનું સાસરું સરખેજ વિસ્તારમાં આવેલા આમેના પાર્કમાં છે. ગઈકાલે તે સરખેજથી બહેરામપુરા તેના પિયર આવી હતી ત્યારે તેના ઉપર હુમલો થયો છે. યુવતીએ વાતચીત કરવા ઇન્કાર કર્યો ને યુવક તૂટી પડ્યોછ મહિના પહેલા પીડિત યુવતી તેના નાનીના ઘરે જતી હતી ત્યારે તેને રહીમ ઉર્ફે નોમાન શેખ સાથે મુલાકાત થઈ હતી. રહીમે યુવતી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા તેણીએ વાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ગઈકાલે રાતે યુવતી તેની માસી સુરૈયાબાનુના ઘરે જઈ રહી હતી ત્યારે રાજા બેકરીમાં બન લેવા માટે ઉભી હતી. પીડિતા બન ખરીદી રહી હતી ત્યારે રહીમ ત્યાં આવી કહેવા લાગ્યો હતો કે તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત નથી કરતી. જો કે યુવતીએ કોઈ જવાબ નહીં આપતા રહીમ વધુ ગિન્નાયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી પીડિતાએ તેની માસીને ફોન કર્યો તો રહીમ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પાસે છરી કાઢી હતી. તમન્ના કંઈ વિચારે તે પહેલા રહીમે તેના બન્ને હાથ પર છરી ના ઘા ઝીંકી દીધા હતા. બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યાયુવતીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે રહીમ ત્યાંથી ભાગી ગયો હતો અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યારે દાણીલીમડા પોલીસે રહીમ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તમન્ના પર થયેલા હુમલાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રહીમ તેના પર છરીઓ વડે હુમલો કરે છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં ઋષિ-મુનિઓના સમયથી માઘ માસનું વિશેષ મહત્વ રહ્યું છે. ખાસ કરીને આ માસમાં વહેલી સવારે ઠંડા પાણીએ સ્નાન કરવાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. આ જ પરંપરાને જીવંત રાખતા વંથલી સ્થિત શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ ખાતે માઘ સ્નાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેંકડો વિદ્યાર્થીઓએ વહેલી સવારની કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે કુદરતી ઠંડા પાણીથી સ્નાન કરી ધાર્મિક અને શારીરિક લાભ મેળવ્યા હતા. ખુલ્લા આકાશ નીચે રાત્રે ભરેલા પાણીના ઘડાથી સ્નાનઆ કાર્યક્રમની ખાસિયત એ હતી કે, સાંજે જ માટીના ઘડામાં પાણી ભરીને ખુલ્લા આકાશ નીચે મૂકી દેવામાં આવે છે. આખી રાત આકાશ નીચે રહેલું પાણી કુદરતી રીતે જ ઠંડું અને ઉર્જાવાન બને છે. વહેલી સવારે 5:30 કલાકે જ્યારે સામાન્ય લોકો ઠંડીથી બચવા રજાઈમાં લપેટાયેલા હોય છે, ત્યારે આ ગુરુકુળના તેજસ્વી વિદ્યાર્થીઓ ભગવાન સ્વામિનારાયણના સ્મરણ સાથે આ ઠંડા પાણીથી સ્નાન કરે છે. ગુરુકુળના વિદ્યાર્થી ધ્યેય પાઘડાળે આ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, સંતો દ્વારા શાસ્ત્રોમાં લખાયેલ માઘ સ્નાનનો મહિમા જાણી અમે શ્રદ્ધાપૂર્વક આ લાભ લઈ રહ્યા છીએ. આ સ્નાન કરવાથી અમારું મન પ્રફુલ્લિત અને પુલકિત બને છે. મન સ્થિર થાય છે અને બુદ્ધિ કૌશલ્યતા વિકસે છે. તેવી જ રીતે અન્ય એક વિદ્યાર્થી નચિકેતા ધામેલિયાએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે શિયાળાની ઠંડીમાં સવારે વાંચવા બેસતી વખતે ઊંઘ આવતી હોય છે અથવા આળસ અનુભવાય છે. પરંતુ જે વિદ્યાર્થીઓ વહેલી સવારે સાડા પાંચ વાગ્યે માઘ સ્નાન કરે છે, તેમને આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. સ્નાન બાદ આખો દિવસ અતિ આનંદ, તંદુરસ્તી અને સ્ફૂર્તિમાં જાય છે. તેનાથી વિદ્યાભ્યાસ પણ ખૂબ સરળ બને છે. સ્વામિનારાયણ ભગવાને પણ ગાયો છે મહિમાનચિકેતાએ વધુમાં જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણે પોતે માઘ સ્નાનનો મહિમા સમજાવતા કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ એક મહિનો નિયમિત માઘ સ્નાન કરે, તો તેને આખું વર્ષ કોઈ રોગ લાગુ પડતો નથી. સંતોના કહેવા મુજબ, ભગવાનના સ્મરણ સાથે સ્નાન કર્યા પછી પૂજા-પાઠ અને ત્યારબાદ વિદ્યાભ્યાસમાં મન લાગે એ એક અદભૂત અનુભવ હોય છે. કોઠારી સ્વામીએ માઘ સ્નાનો મહિમા જણાવ્યોગુરુકુળના કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીએ આ પરંપરાનું વૈજ્ઞાનિક પાસું સમજાવતા જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો ગીઝર કે બોઈલરના ગરમ પાણીથી નાહવાના આદિ થઈ ગયા છે. જો એક દિવસ ગરમ પાણી ન મળે તો લોકોની તબિયત બગડી જાય છે. તેની સામે અહીં બાળકો છેલ્લા પોણા મહિનાથી સતત ઠંડા પાણીએ સ્નાન કરી રહ્યા છે અને એક પણ બાળકને ખાંસી, શરદી કે તાવ જેવી સામાન્ય બીમારી પણ થઈ નથી. સ્વામીજીએ વધુમાં ઉમેર્યું કે, વેદ-વેદાંતોમાં ઋષિઓએ આનો જબરદસ્ત મહિમા લખ્યો છે. ઠંડા પાણીના સંપર્કથી શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધે છે. તેમણે આજકાલના યુવાનોને શિખામણ આપતા કહ્યું કે, ઠંડા પાણીથી નાહવાથી તબિયત બગડશે તેવો ભ્રમ રાખવાને બદલે જો આ પરંપરાનું અનુકરણ કરવામાં આવે, તો આખું વર્ષ શરીર તંદુરસ્ત રહી શકે છે. કોઠારી સ્વામીએ સૌને અપીલ કરી હતી કે આ બાળકોમાંથી પ્રેરણા લઈ લોકોએ પણ કમસે કમ ઠંડા પાણીએ સ્નાન કરવાની આદત રાખવી જોઈએ. આ કાર્યક્રમ દ્વારા વંથલી ગુરુકુળના બાળકોએ સમાજને સંદેશ આપ્યો છે કે પ્રાચીન પરંપરાઓ માત્ર ધાર્મિક માન્યતા નથી, પરંતુ તે ઉત્તમ સ્વાસ્થ્ય અને તેજસ્વી બુદ્ધિ માટેની જડીબુટ્ટી છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, મૃત્યુ કોઈપણ સમયે મનુષ્ય પર ત્રાટકી શકે છે. તેમણે વાવાઝોડા અને ધરતીકંપની જેમ મૃત્યુને પણ અણધાર્યું ગણાવ્યું હતું. તેમણે ઉપદેશ આપ્યો કે, મૃત્યુ આવે તે પહેલાં ભગવાનની ભક્તિ અને સત્સંગ દ્વારા જીવનને સુધારી લેવું જોઈએ. જો ભક્તિરૂપી બેલેન્સ પૂરતું હોય, તો મોક્ષ પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધ આવતો નથી. સાધુ પ્રેમવત્સલદાસજીએ એક વરરાજાનું ઉદાહરણ આપ્યું હતું. લગ્ન કરવા જઈ રહેલા વરરાજાને અચાનક સાપ કરડવાથી તેમનું મૃત્યુ થયું હતું. આ આનંદનો પ્રસંગ શોકમાં પરિવર્તિત થઈ ગયો હતો, જે દર્શાવે છે કે મૃત્યુ ગમે ત્યારે અને ગમે તેને આવી શકે છે.આથી, તેમણે ઉપલબ્ધ સમયનો સદુપયોગ કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરવા અને તેમને પ્રસન્ન કરવા પર ભાર મૂક્યો હતો.
ગાંધીનગરમાં અભ્યાસ કરતી એક આશાસ્પદ યુવતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સેક્ટર-7 માં આવેલી જે. એમ. ચૌધરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને F.Y. B.A.માં અભ્યાસ કરતી 19 વર્ષીય શિવાની આહીરે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હોસ્ટેલમાંથી ગુમ થતાં સત્તાધીશો દોડતાં થયાંમળતી વિગતો અનુસાર, પાટણના રાધનપુરની વતની શિવાની ભોજાભાઈ આહીર 21 જાન્યુઆરીની સાંજે કોલેજ કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાંથી અચાનક ગુમ થઈ હતી. હોસ્ટેલમાં તેની ભાળ ન મળતા કોલેજ પ્રશાસન અને સિક્યુરિટી દ્વારા કેમ્પસમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થિની લાપતા થતા કોલેજ અને હોસ્ટેલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારને જાણ કરતા ગાંધીનગર દોડી આવ્યોદીકરીના ગુમ થવાના સમાચાર સાંભળી પરિવાર પણ ગાંધીનગર દોડી આવ્યો હતો. સેક્ટર-7 પોલીસને જાણ કરાતા પોલીસે પણ રાત્રિ દરમિયાન શોધખોળ હાથ ધરી હતી. અંતે વિદ્યાર્થિનીનો મૃતદેહ કોલેજના જ એક ક્લાસરૂમમાંથી મળી આવતા સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. કોલેજ કેમ્પસમાં જ બનેલી આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓમાં ભારે શોક અને ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. યુવતી મુળ રાધનપુરના સાનિયાતર ગામના વતની હતીઉલ્લેખનીય છે કે, રાધનપુરના સાનિયાતર ગામના વતની એવા આહીર પરિવાર પર દીકરીના મોતથી આભ તૂટી પડ્યું હતું. ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે દીકરીને ગાંધીનગર ભણવા મોકલી હતી, પરંતુ તેના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરીક્ષાના ટેન્શનમાં પગલુ ભર્યા આશંકાઆ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, યુવતીની આજથી પરીક્ષા શરૂ થવાની હતી, જેના ટેન્શનમાં પણ હતી. ગઈકાલે તે ગુમ થઈ ગઈ હતી. જે બાદ તેના જ કલાસરૂમમાં દુપટ્ટો વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. હાલમાં વિદ્યાર્થિનીના મોત પાછળનું કારણ જાણવા સહિતની તપાસ ચાલુ છે.
હિંમતનગરના ગોકુલનગર સ્થિત ગોકુલેશ્વર મહાદેવ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ 11 કુંડી મહારુદ્ર યાગ સાથે થયો હતો. આજે સવારે પ્રાતઃપૂજા બાદ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. દાદાની પાલખીમાં નીકળેલી આ સવારીમાં યજમાનો, ભક્તો અને મહેમાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા મહાવીરનગર ચાર રસ્તે પહોંચી પરત મંદિરે આવી પૂર્ણ થઈ હતી. મહોત્સવના પ્રથમ દિવસે, ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન અને શોભાયાત્રા યોજાઈ હતી. બપોરે 12 કલાકે ધજાનો ચઢાવો અને 2:30 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો. સાંજે 6:30 કલાકે આરતી કરવામાં આવશે. શુક્રવાર, 23 જાન્યુઆરીના રોજ ત્રીજા દિવસે સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન થશે. બપોરે 2:30 કલાકે ઉત્તર પૂજનનો પ્રારંભ થશે અને સાંજે 4 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી યોજાશે. સાંજે 5 કલાકે મહાપ્રસાદનું વિતરણ શરૂ થશે. ત્રણ દિવસીય ઉજવણીના ભાગરૂપે, ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ રાત્રે 8:30 કલાકે હિંમતનગરના પ્રવીણભાઈ પંચાલના નિજાનંદ ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં આવેલા ઈનાયા બિલ્ડીંગમાં રહેતા અને સ્ક્રેપનો વ્યવસાય કરતા મહમદ આસીફ અબ્દુલગની ફતાણીએ 20 જાન્યુઆરીના રોજ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 9ના રોજ તેઓ પરિવાર સાથે વડોદરા લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડ મળી કુલ રૂ. 9.50 લાખની ચોરી થઈ હતી. ઘટનાની તપાસ દરમિયાન ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બે બુરખાવાળી મહિલાઓ ચોરી કરતી નજરે પડતાં પોલીસે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે આ ગુનામાં LCBએ 2 મહિલા સહિત 3ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ લોકો શંકાસ્પદ હાલતમાં ઉભા હોવાની પોલીસને બાતમી મળીઆ અંગે એલસીબી કચેરીથી મળતી માહિતી મુજબ, ભાવનગર LCBને બાતમી મળી હતી કે, શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલા વનિતા વિશ્રામની પાછળના ભાગે ડોન ચોક તરફ જવાના રોડ પાસે એક્ટિવા સ્કૂટર રજી.નંબર- GJ-04-DS 6976 સાથે એક પુરૂષ તથા બે મહિલાઓ કાળા કલરના બુરખા પહેરીને ઉભા છે. જે ત્રણેય જણાં પાસે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે. જે તેઓ ક્યાંકથી ચોરી અથવા તો છળકપટથી લાવ્યા હોવાની શંકા છે. ત્રણેય આરોપીઓ ઈનાયા બિલ્ડીંગમાં ઘરકામ અર્થે જતા હતાબાતમી આધારે તપાસ કરતાં તૌશીફ શમસીરભાઈ હમીદાણી, રૂક્સારબેન તૌશીક્ભાઈ શમસીરભાઈ હમીદાણી, આયશાબેન તોફીકભાઈ શમસીરભાઈ હમીદાણી મળી આવતા અટક કરી તેના કબજામાં રહેલા મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા આજથી આશરે પંદરેક દિવસ પહેલાં તૌશિફે અગાઉ તેના બા તથા આયશાબેન શિશુવિહાર સર્કલ, નવી માણેક્વાડીમાં આવેલ ઈનાયા બિલ્ડીંગમાં રહેતાં આશિક્ભાઈ ફ્તાણીના ઘરે કામ કરવા જતાં હતાં. કબાટ ખોલી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતીતેના ફ્લેટની લાઈટો બંધ હોવાની બે દિવસ રેકી કરીને તેઓ બહારગામ ગયા હોવાની ખબર પડતાં બારેક દિવસ પહેલાં ચોરી કરવા જવાનો પ્લાન બનાવી આયશાબેન તથા રૂકસારબેન બંનેએ કાળા કલરના બુરખાઓ પહેરીને નકાબ બાંધીને કોઈ ઓળખી ન શકે તે રીતે રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ ભાડે રિક્ષા કરીને તથા તૌશીફે ઉપરોકત સ્કુટરમાં તેઓની પાછળ-પાછળ જઈને ભાવનગર, શિશુવિહાર સર્કલ, નવી માણેક્વાડીમાં આવેલા ઈનાયા બિલ્ડીંગમાં બંને મહિલાઓએ લીફ્ટથી ઉપર જઈ આશિક્ભાઈના ફ્લેટના દરવાજે રૂખસારબેન ઉભા રહેલા અને ફ્લેટની નીચેના ભાગે સામે રોડ ઉપર તૌશિફ એકટીવા લઈને ધ્યાન રાખવા માટે ઉભા રહેલા અને આયશાબેન અગાશીમાંથી ગેલેરીમાં થઈ સ્લાઈડીંગ બારી ખોલી ફ્લેટનો દરવાજો ખોલી રૂકસારબેનને ફ્લેટમાં બોલાવી કબાટની ચાવી કયાં રાખતા હોવાની ખબર હોવાથી ચાવીથી કબાટ ખોલી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. 2 લાખના દાગીના વોરાબજાર પાસે ગુંજવ જ્વેલર્સમાં વહેંચયા હોવાની કબૂલાતઆરોપી પાસેથી મોબાઇલ ફોન કિં.રૂ.5000, તથા એક્ટિવા સ્કૂટર કિં.રૂ.40,000, ચાંદીનો ચેઇન 3 ગ્રામ 970 મીલીગ્રામ કિં.રૂ.1500, ઇમિટેશનની બંગડી કિં.રૂ.150, બ્રેસલેટ કિં.રૂ.100, વીંટી કિં.રૂ.100, બુટ્ટી કિં.રૂ.200, ચેઇન કિં.રૂ.150, ઇમિટેશનનો ચેઇન કિં.રૂ.100, રોકડ રૂ. 5,16,200 મળી કુલ રૂ.5,63,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઝડપાયેલા ઈસમોની પૂછપરછ દરમિયાન જે પૈકી સોનાના દાગીના વોરાબજાર પાસે ગુંજવ જ્વેલર્સ ધરાવતા ભુપેનભાઈ કુકડીયાને રૂ. 2.04 લાખમાં વેંચી દીધાની કબુલાત આપી હતી. આરોપીઓની મોડસ ઓપરેન્ડીઆ બનાવમાં આરોપીઓએ રાત્રિના સમયે બંધ ફલેટમાં અગાશીમાંથી ગેલેરીમાં જતા હતા. જ્યાંથી સ્લાઇડીંગ બારીમાંથી ફ્લેટમાં જઇ અંદરથી દરવાજો ખોલતા. આરોપી અગાઉ ફલેટમાં કામ કરવા આવતાં હોવાથી કબાટની ચાવીઓ ક્યાં રાખે છે તેની જાણ હોવાથી ચાવીથી કબાટ ખોલી તેમાંથી રોકડ તથા દાગીનાની ચોરી કરતા હતા.
સુરતના રાંદેર વિસ્તારમાં રિક્ષા હટાવવા જેવી સામાન્ય વાતમાં થયેલી માથાકૂટ હવે હત્યાના ગુનામાં પરિણમી છે. રસ્તા વચ્ચે રિક્ષા ઉભી રાખવા બાબતે થયેલા વિવાદમાં 3 શખ્સોએ એક વ્યક્તિ પર લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ આધેડનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા રાંદેર પોલીસે હવે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 10મી જાન્યુઆરીએ ત્રણ શખસો દ્વારા હુમલો કરાયો હતોઘટનાની વિગતો મુજબ, જાન્યુઆરી 10ના રોજ કાલુ, અનિલ અને સન્ની નામના 3 શખ્સો પોતાની રિક્ષા લઈને રાંદેર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓએ રસ્તાની વચ્ચે રિક્ષા ઊભી રાખતા ટ્રાફિકમાં અવરોધ ઊભો થયો હતો. આ સમયે ત્યાંથી પસાર થતા રાજુભાઈ ભગાભાઈ સોલંકીએ તેઓને રિક્ષા સાઈડમાં લેવા માટે કહ્યું હતું, જે વાત રિક્ષામાં સવાર શખ્સોને ન ગમતા મામલો બિચક્યો હતો. પ્રથમ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, પરંતુ જોતજોતામાં આવેશમાં આવી ગયેલા ત્રણેય આરોપીઓએ રાજુભાઈ પર હુમલો કરી દીધો હતો. આરોપીઓએ લાકડાના ફટકા વડે રાજુભાઈના માથાના ભાગે જીવલેણ પ્રહાર કર્યા હતા. આ હુમલામાં રાજુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે BNS ની કલમ 103(1) મુજબ ગુનો નોંધ્યો હતો. રાજુભાઈ છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે, તબીબોના તમામ પ્રયત્નો છતાં જાન્યુઆરી 21 ના રોજ રાત્રે 9:23 કલાકે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મોતના સમાચાર મળતા જ રાંદેર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી વધુ તેજ કરી છે અને ઘટના અંગે ઇન્ક્વેસ્ટ પંચનામું કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્રણેય આરોપીની ધરપકડએસીપી બી.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કેસમાં સામેલ ત્રણેય આરોપીઓની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી હતી અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ ભંગારના માલસામાનની હેરાફેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેઓનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.
રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલે મહેસાણા જિલ્લાના સતલાસણા સ્થિત ધરોઈ ડેમની મુલાકાત લઈ વિવિધ વિકાસકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધરોઈ ડેમ બનશે વૈશ્વિક પ્રવાસન ધામ ધરોઈ ડેમ પ્રદેશને સસ્ટેનેબલ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સરકાર મક્કમ છે. મંત્રીશ્રીએ આ યોજના હેઠળ નિર્માણ પામનાર એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, વિઝિટર સેન્ટર અને વોટર એક્સપિરિયન્સ પાર્કની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, પ્રકૃતિપ્રેમીઓ માટે પંચ તત્વ પાર્ક, બોટેનિકલ ગાર્ડન તેમજ અર્થ, સન અને સ્કાય એક્સપિરિયન્સ પાર્ક જેવા અદ્યતન પ્રકલ્પોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઉદવહન પાઇપલાઇન અને જળ સંચયની સમીક્ષા મંત્રીશ્રીએ વલાસણા બેરેજ અને ચિમનાબાઈ સરોવરની મુલાકાત બાદ વરસંગ તળાવ ખાતે ખેરાલુ-સતલાસણા ઉદવહન પાઇપલાઇનના કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂતો અને સ્થાનિકોના હિતમાં આ પાઇપલાઇનની કામગીરી સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. અધિકારીઓ સાથે મહત્વની બેઠક આ મુલાકાતમાં મુખ્ય ઇજનેર એમ.ડી. પટેલ અને અધિક્ષક ઇજનેર ડી.પી. બારોટ સહિતના ટેકનિકલ નિષ્ણાતો સાથે પ્રોજેક્ટની ગુણવત્તા અને પ્રગતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રવાસન પ્રોજેક્ટ્સ અને પાણી પુરવઠાના કામોથી ઉત્તર ગુજરાતના વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા 'નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ' અંતર્ગત ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તેલબિયાં પાકો અને પ્રાકૃતિક કૃષિ મદદનીશ ખેતી નિયામક હિતેશભાઈ ચૌધરીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો. તાલીમમાં મગફળી, દિવેલા અને રાઈ જેવા તેલબિયાં પાકોનું ઉત્પાદન કેવી રીતે વધારવું તે અંગે તકનીકી માર્ગદર્શન અપાયું હતું. સરકારી યોજનાઓનું માર્ગદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામસેવકોએ ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ની વિગતવાર સમજ આપી હતી. ખેડૂતો સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો ઓનલાઈન લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે અધિકારીઓએ પ્રત્યક્ષ માહિતી આપી ખેડૂતોને સજ્જ કર્યા હતા.
નોકરી માટે બેલારુસ ગયા પછી ફસાયેલી મહિલા મીના જોષી હવે તેમના વતન નવસારીમાં પરત ફરશે. વડોદરાના એજન્ટ પીયૂષ ચૌહાણે જ મહિલાની ટિકિટની વ્યવસ્થા કરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં મીનાબેનને સેફ હાઉસમાં રાખવાની વ્યવસ્થા પણ કરાઈ છે. આવતીકાલે (23 જાન્યુઆરી) રાતે 9.20 વાગ્યે બેલાવીઆ એરલાઇન્સ મારફતે મિન્સ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટથી ભારત આવવા રવાના થશે અને 24 જાન્યુઆરી સવારે 6.40 વાગ્યે દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. બાદમાં દિલ્હી એરપોર્ટથી તેઓ નવસારી ખાતે પહોંચશે. આ સમાચારથી મહિલાના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. મહિલાએ વાઇરલ વીડિયોમાં એજન્ટ સામે આક્ષેપો કર્યા હતાં. હાલમાં બેન સેફ હાઉસમાં છેઃ પિયુષ ચૌહાણમહિલાના વીઝાની પ્રોસેસ કરનાર ગજાનંદ ઓવરસિસના માલિક પિયુષ ચૌહાણે જણાવ્યું હતું કે, મીનાબેનનો વીડિયો વાઇરલ થયા બાદ તેમને ભારત પરત લાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. અમને આ વાતની જાણ થઈ છે. અમે તાત્કાલિક અમારી કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપનીએ એક દિવસનો સમય માંગ્યો હતો અને ત્યારબાદ બેન જ્યાં હતા, ત્યાંથી તેમને શોધી કાઢ્યા અને હાલમાં સેફ હાઉસમાં તેમની રહેવાની વ્યવસ્થા કરી આપી છે. ‘કેટલાક લોકોએ મીનાબેનને ઉશ્કેર્યા હતા’મીનાબેન સાથે પરમ દિવસે લગભગ 10-15 મિનિટ વાત થઈ હતી અને તેનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. તેઓ અત્યારે સુરક્ષિત છે. કેટલાક લોકોએ તેમને ઉશ્કેર્યા હતા, કે જો તમે આવું કરશો તો જ એજન્ટ પૈસા પાછા આપશે. જો તેમને પૈસાનો કોઈ પ્રશ્ન હતો તો તેમણે સીધો અમારો સંપર્ક કરવો જોઈતો હતો. પરંતુ આ બાબત જ્યારે અમારા સુધી આવી ત્યારે અમે કંપનીને જાણ કરી અને તેમને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવી દીધી છે. ‘અગાઉ અમને ભારત આવવાની અમને જાણ કરી હોત તો વીડિયોની જરૂર ન પડત’ તેમની ફ્લાઇટની ટિકિટની અમે વ્યવસ્થા કરી છે. આવતીકાલે 23 જાન્યુઆરીએ તેઓ ત્યાંથી નીકળશે, તેઓ 24 જાન્યુઆરીએ વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર આવી જશે. જો આ બાબતની જાણ તેમણે અમને અગાઉ કરી હોત કે તેમને ભારત પરત આવવું છે, તો આ રીતે વીડિયો વાઇરલ કરવાની જરૂર ન પડત અને તેઓ સુરક્ષિત રીતે વહેલા પરત આવી શક્યા હોત. હાલમાં તેઓ ત્યાં સેફ હાઉસમાં છે, તેમને કોઈ સમસ્યા નથી. કંપનીએ પણ પૂરેપૂરો સહયોગ આપ્યો છે અને તેમની ટિકિટ પણ બુક થઈ ગઈ છે. અમારો એક માણસ ત્યાં હાજર છે જે તેમને સુરક્ષિત રીતે એરપોર્ટ સુધી પહોંચાડી દેશે. 5,000 કિમી દૂર ફસાયેલી માતાની યાદમાં દીકરીની રોકકળ, દરવાજે ઊભી ઊભી એક જ શબ્દ, 'મમ્મીની ખૂબ યાદ આવે છે નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતાં અને ત્રણ બાળકની માતા અને વિધવા મહિલા મીનાબેન જોષીને બેલારુસમાં ફ્રૂટ પેકિંગની નોકરી અપાવવાની લાલચ આપી એજન્ટોએ લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ તેમને ત્યાં નિઃસહાય હાલતમાં છોડી દીધાં છે. 5 હજાર કિ.મી. દૂર ફસાયેલી મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને જે પગાર અને નોકરીની વાત કરી હતી એેમાંનું કશું પણ તેને બેલારુસમાં નથી મળ્યું. બીજી તરફ, તેના એજન્ટે મહિલા પર કામમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે નવસારીમાં રહેતાં મીનાબેન જોષીના પરિવારની મુલાકાત લીધી હતી. અમારી ટીમ અહીં પહોંચી તો મીનાબેનનાં ત્રણેય સંતાન ઘરના દરવાજે ઊભાં-ઊભાં જાણે કે હમણાં મમ્મી આવશે, હમણાં મમ્મી આવશે, એવી આશા સાથે આંખોમાં આંસુ સાથે મીનાબેનની વાટ જોતાં જોવા મળ્યાં હતાં. અમારી ટીમે બાળકોની સમજાવટ કર્યા બાદ પરિવાર સાથે વાતચીતમાં સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કર્યો છે, જે આગળ તેમના જ શબ્દોમાં વાંચો...(સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) હવે જાણો કે બેલારુસમાં ફસાયેલી મહિલાનો સમગ્ર મામલો શું છે… નવસારીનાં મીનાબેન જોષી વડોદરાના એજન્ટોના સંપર્કમાં આવતાં તેમને બેલારુસમાં ફ્રૂટપેકિંગના કામમાં દર મહિને 90 હજાર રૂપિયાના માતબર પગારની વાત કરતાં તેમણે પોતાની જિંદગીની જમા પૂંજી અને લોન કરીને કુલ 5.50 લાખ રૂપિયા એજન્ટોને ચૂકવી દીધા હતા. બેલારુસ પહોંચ્યાં બાદ મીનાબેનને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને ફ્રૂટપેકિંગને બદલે એક તબેલામાં પશુઓની સારસંભાળ રાખવાના કામમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં. જ્યાંની કપરી પરિસ્થિતિ અને એજન્ટો દ્વારા આપવામાં આવેલાં ખોટાં વચનોને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયાં છે. જ્યારે તેમણે એજન્ટોનો સંપર્ક કર્યો ત્યારે એજન્ટોએ મદદ કરવાને બદલે હાથ અધ્ધર કરી દીધા હતા. આ માહિતી મીનાબેન જોષીએ વીડિયો વાઇરલ કરીને આપી હતી. બીજી તરફ વડોદરાના ગજાનંદ ઓવરસીઝના માલિક પીયૂષ ચૌહાણે મીનાબેન જોષીના આરોપ ફગાવ્યા હતા અને 2થી 4 દિવસમાં તેમને પાછા લાવવાની તૈયારી બતાવી હતી. આ પણ વાંચો: નોકરી માટે બેલારુસ ગયેલી મહિલા અને એજન્ટ આમને-સામને
રાજકોટના રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં PGVCL એ UGVCL સામે વિજયી શરુઆત કરી હતી. UGVCL એ ટોસ જીતીને PGVCL ને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. PGVCL ના કે.આર. પાઠકે ઝંઝાવાતી 108 રન અને અજય શેઠે 73 રન ફટકારતા ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 197 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી UGVCL ની ટીમ 142 રનમાં ઓલઆઉટ થઈ જતાં PGVCL નો વિજય થયો હતો. DGVCL નો દબદબો: વસીમ મલીકના 135 રન બીજી મેચ રાજકુમાર કોલેજ ગ્રાઉન્ડ પર DGVCL અને GETCO વચ્ચે રમાઈ હતી. DGVCL એ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી 20 ઓવરમાં 3 વિકેટે 211 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. જેમાં વસીમ મલીકે 135 રનની આક્રમક ઇનિંગ રમી હતી. સામે પક્ષે GETCO ની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ બનાવી શકી હતી, પરિણામે DGVCL વિજેતા બની હતી. GSECL નો એકતરફી વિજય ત્રીજી મેચમાં GSECL એ GUVNL ને પરાજય આપ્યો હતો. GUVNL એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 98 રન કર્યા હતા. આ લક્ષ્યને GSECL એ માત્ર 9.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 104 રન બનાવી પાર કરી લીધું હતું. યોગીરાજસિંહ જાડેજાએ અણનમ 64 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા ગેંડા ફળિયામાં આવેલ ચસ્તિયા એપાર્ટમેન્ટમાં ગત રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા એક બંધ મકાનમાં લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના રહીશો પોતાનો જીવ બચાવવા દોડીને નીચે આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર, આ મકાનમાં રહેતો પરિવાર લગ્નપ્રસંગમાં ગયો હોવાથી ઘર ખાલી હતું. અચાનક લાગેલી આગમાં મકાનનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. મકાનની સામે રહેતા પરિવારે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યાર બાદ દાંડિયાબજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયોઆ આગને કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. વીજ વિભાગની ટીમે સુરક્ષાના ધ્યાનમાં રાખીને એપાર્ટમેન્ટનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખ્યો હતો, ત્યારબાદ ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી. અચાનક બૂમો પડવા આગ લાગીઘટનાસ્થળે હાજર એપાર્ટમેન્ટના રહેવાસી રઝાક શેખે સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, અમે ગત રાત્રે ઘરમાં જ હતા. અચાનક બૂમો પડવા લાગી કે આગ લાગી છે. બધા નીચે દોડી રહ્યા હતા. બહાર આવીને જોયું તો મારા મકાનની સામે જ આગ લાગી હતી. મેં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી. આ આગમાં સામેના મકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલમાં આખા એપાર્ટમેન્ટમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં મકાનમાં રહેલા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આ આગ એક લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ બંધ મકાન હોવાથી શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ મામલે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
કેમિકલ કાંડનો ફરાર આરોપી ઝડપાયો:ભાવનગર જેલમાંથી એક વર્ષ પહેલા જામીન પર ભાગ્યો હતો
ભાવનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર થયેલ કેમિકલ કાંડનો આરોપી મહેંદ્રસિંહ ઉર્ફે ગોપાલ અજીતસિંહ ચુડાસમા એક વર્ષ બાદ ઝડપાઈ ગયો છે. બોટાદ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કૉડ દ્વારા આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી મહેંદ્રસિંહ રાણપુર અને બરવાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેને સેશન્સ કોર્ટના આદેશથી 10 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, જામીનની અવધિ પૂર્ણ થયા બાદ તે જેલમાં હાજર ન થતા ફરાર થઈ ગયો હતો. બોટાદ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કૉડ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેની શોધખોળ કરવામાં આવી હતી. આખરે, તેને ધોળા-ગોદડજી, તાલુકો ઉમરાળા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
જામનગરની મિરલબેન મોલિયાની BSFમાં પસંદગી:ખેડૂત પુત્રી દેશની સરહદ પર ફરજ બજાવશે
જામનગર જિલ્લાના વરણા ગામના મૂળ વતની અને હાલ ગોકુલનગર, મુરલીધર નગર ખાતે સ્થાયી થયેલા એક સામાન્ય ખેડૂત પરિવારની 22 વર્ષીય દીકરી મિરલબેન દિનેશભાઈ મોલિયાની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં પસંદગી થઈ છે. તેઓ હવે દેશની ઉત્તર બંગાળ સરહદ પર ફરજ બજાવશે. મિરલબેને ધોરણ 10 પછી સ્ટાફ સિલેક્શન કમિશન (SSC GD) દ્વારા લેવાતી કઠિન પરીક્ષાઓ પાસ કરી છે. ભુજ ખાતે ગ્રાઉન્ડ ટેસ્ટ અને રાજકોટ ખાતે લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ, તેમણે કડક મેડિકલ અને ફિઝિકલ ટેસ્ટ પણ સફળતાપૂર્વક પાર કરી હતી. લેઉવા પટેલ સમાજની દીકરીઓ માટે ડિફેન્સ ક્ષેત્રે જોડાવાનો આ એક વિરલ કિસ્સો છે. સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામેલી માત્ર 22 યુવતીઓમાં અને જામનગર જિલ્લાની બે યુવતીઓમાં સ્થાન મેળવીને મિરલબેને પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેમને નાનપણથી જ દેશસેવા અને ડિફેન્સ ક્ષેત્રે જોડાવાનું આકર્ષણ હતું, જે આજે સાકાર થયું છે.આગામી 2જી ફેબ્રુઆરીના રોજ મિરલબેન મોલિયા વિધિવત રીતે BSF માં જોડાશે. સરકાર દ્વારા તેમની નિયુક્તિ ઉત્તર બંગાળના પંજીપારા ખાતે કરવામાં આવી છે. તેમની ફરજ માત્ર સીમાડાની સુરક્ષા જ નહીં, પરંતુ ત્યાં થતી પશુઓની તસ્કરી અને નશાકારક પદાર્થોની હેરફેર રોકવાની પણ રહેશે. તેઓ દૈનિક 6 કલાકની સઘન ફરજ બજાવશે.આ પડકારજનક કામગીરી પહેલા, તેમને મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ટેકનપુર ગામ ખાતે 44 અઠવાડિયાની કઠોર તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમે તેમને સક્ષમ સૈનિક તરીકે તૈયાર કર્યા છે. મિરલબેનનું આ સાહસ જામનગર અને સમગ્ર ગુજરાતની અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ બન્યું છે. ગોકુલનગરના મુરલીધર નગર વિસ્તારમાં રહેતા તેમના પિતા દિનેશભાઈ, જેઓ વ્યવસાયે ખેડૂત છે, તેમણે પોતાની દીકરીને દેશને સોંપીને એક સાચા દેશભક્ત તરીકેની ફરજ બજાવી છે. મિરલબેનનો આ સંદેશ સ્પષ્ટ છે કે આજની યુવતીઓ માત્ર ઘરની ચાર દીવાલોમાં સીમિત નથી, પરંતુ હાથમાં હથિયાર ઉઠાવીને દેશના દુશ્મનોનો સામનો કરવા પણ સક્ષમ છે.
પેટ શોપમાં આગથી એક ડોગ, 4 પક્ષીના મોત:જામનગરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ, ફાયરે અન્યને બચાવ્યા
જામનગરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં આવેલી 'પેટ પેલેસ' નામની પેટ શોપમાં રાત્રિના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં એક ડોગ અને ચાર પક્ષીઓના ગૂંગળામણથી મૃત્યુ થયા હતા. દુકાનના માલિક હરેશ ગોસ્વામી દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ આ આગ લાગી હતી. તેમને જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જામનગર ફાયર શાખાની ટુકડી, જેમાં ફાયર સ્ટેશન ઓફિસર કામિલ મહેતા અને રાકેશ ગોકાણી સહિતના જવાનોનો સમાવેશ થતો હતો, તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે સૌપ્રથમ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવ્યા બાદ દુકાનની અંદર તપાસ કરતા, ધુમાડા અને ગૂંગળામણના કારણે બજરીગર અને લવબર્ડ પ્રજાતિના ચાર પક્ષીઓ તેમજ એક ડોગનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ફાયર ટીમે પિંજરામાં રહેલા અન્ય સાત ડોગ અને ૧૨ પક્ષીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવવામાં આવેલા પશુ-પક્ષીઓને અન્ય જગ્યાએ ખસેડી પશુચિકિત્સકો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
પાટણમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક:કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં કામોની સમીક્ષા
પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટર ભટ્ટે પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓ તેમજ પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. બેઠક દરમિયાન, કલેકટર તુષાર ભટ્ટે રીજુવિનેશન અને અનુસૂચિત જાતિ પેટા યોજના કાર્યક્રમ હેઠળના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ ઉપરાંત, વાસ્મો અંતર્ગત પ્રગતિ હેઠળની યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. નવીન યોજનાઓ માટે વહીવટી મંજૂરી અંગે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગતિશક્તિ પોર્ટલ પર થયેલી એન્ટ્રીઓ, જલ અર્પણ દિવસની ઉજવણી માટે બે ગામોની પસંદગી, DWSM અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (SBM)ની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો અને તેના નિરાકરણ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, વાસ્મોના અધિકારીઓ સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં 21 જાન્યુઆરીની રાતે ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વિશેષ હાજરી આપી હતી. તેમણે સમાજના લોકોને સંબોધતા જણાવ્યું કે, એસઆઈઆરની કામગીરી અંતર્ગત તમામ સમાજના લોકોએ પોતાનું નામ નોંધણી કરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવી જોઈએ. જો લોકોએ સુરતમાં ધંધા-રોજગાર માટે કાયમી રહેવું હોય, તો તેઓ સુરતમાં પોતાનું નામ ટ્રાન્સફર કરાવી શકે છે. ઠાકોર સમાજના લોકોએ ખાસ ચકાસણી કરવી જોઈએ કે તેમનું નામ આ યાદીમાં છે કે નહીં. આ સાથે તેઓએ ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ પણ કર્યા હતાં. રત્નકલાકારોને આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરીશઃગેનીબેનસુરતના ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અંગે ગેનીબેને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નિવેદન આપ્યું કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે, જેના કારણે રત્નકલાકારોના પરિવારોને આર્થિક રીતે મોટી અસર થઈ છે. ગેનીબેને ખાતરી આપી હતી કે, તેઓ આ ગંભીર બાબતે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હું તમામ પુરાવાઓ સાથે નાણામંત્રી સમક્ષ રત્નકલાકારોને આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરીશ, જેથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને થોડી રાહત મળી શકે. ‘જેમ મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, તેમ સુરત સમગ્ર ગુજરાતની’ગેનીબેન ઠાકોરે સુરતના વિકાસ અને તેના 'સ્ટેટસ' વિશે વાત કરતા કહ્યું હતું કે, સુરતમાં રહેવું એ આજે એક ગૌરવ અને સ્ટેટસ ગણાય છે. સુરતમાં કોઈપણ નાનો-મોટો ધંધો કે રોજગાર કરવો એ પ્રતિષ્ઠાની વાત છે. તેમણે સુરતની સરખામણી મુંબઈ સાથે કરતા જણાવ્યું કે, જેમ મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, તેમ સુરત સમગ્ર ગુજરાતની આર્થિક રાજધાની છે. અહીં વસતા દરેક વ્યક્તિએ પોતાની મહેનતથી પોતાની ઓળખ ઊભી કરી છે, જે ખરેખર પ્રશંસનીય બાબત છે. ‘રાજકીય કિન્નાખોરી રાખીને કોઈ સમાજને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં’રાજકારણ અને સામાજિક એકતા પર ભાર મૂકતા ગેનીબેને 'રાજધર્મ'ની નવી વ્યાખ્યા આપી હતી. તેમણે કહ્યું કે, તમામ સમાજને સાથે રાખીને આગળ ચાલવું જોઈએ. રાજકીય કિન્નાખોરી રાખીને ક્યારેય કોઈ પણ સમાજને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. પોતાના અનુભવ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, હું જ્યારે સાંસદ બની ત્યારે મારું સૌથી પહેલું સ્વાગત ચૌધરી સમાજે કર્યું હતું. તેમણે અંતમાં ઉમેર્યું કે, તમામ સમાજની નિઃસ્વાર્થ ભાવે સેવા કરીને આગળ વધવું એ જ સાચો અને શ્રેષ્ઠ રાજધર્મ છે. ગેનીબેને ગોવિંદભાઈ ધોળકિયાની પ્રશંસા કરીઆ સંમેલન દરમિયાન ગેનીબેને ભાજપના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે નિવેદન આપ્યું કે, ગોવિંદભાઈ ધોળકિયાએ ડાયમંડ ઉદ્યોગમાં જે સિદ્ધિ હાંસલ કરી છે તે કોઈ એક-બે વર્ષમાં નહીં, પરંતુ 25 વર્ષની સતત મહેનતનું પરિણામ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગોવિંદભાઈએ માત્ર પોતાનો વિકાસ નથી કર્યો, પરંતુ રત્નકલાકારોનું પણ ખૂબ ધ્યાન રાખ્યું છે. તમામ સમાજને સાથે લઈને ચાલવાની તેમની વૃત્તિને કારણે જ આજે તેમનું નામ ઉદ્યોગ જગતમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. સામાજિક બંધારણ અને બિનજરૂરી ખર્ચ ઘટાડવાની અપીલસમાજના કુરિવાજો અને આર્થિક ભારણ પર ગેનીબેને કટાક્ષ કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હાલ ઘણા સમાજ પોતાનું બંધારણ બનાવી રહ્યા છે, જે સારી વાત છે. ઠાકોર સમાજે પણ સામાજિક ખર્ચ ઓછા કરવા માટે જાગૃત થવું પડશે. લગ્ન પ્રસંગોમાં થતા ભપકા અને સોના-ચાંદીના વહેવાર પર તેમણે રોક લગાવવાની હાકલ કરી હતી.સામાજિક સુધારા એ આજના સમયની માંગ છે અને દરેક પરિવારે આ દિશામાં વિચારીને આર્થિક બચત તરફ વળવું જોઈએ. ખેતીની જમીન અને ચાંદીના ભાવ પર કટાક્ષછેલ્લા ફકરામાં ગેનીબેને ખેડૂતોને જમીન ન વેચવા માટે ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ચાંદીના ભાવ અત્યારે આસમાને છે. લગ્ન પ્રસંગમાં ચાંદી આપવાના રિવાજને કારણે ખેડૂતોએ પોતાની એક-બે વીઘા જમીન વેચવી પડે છે. તેમણે ચેતવણી આપી કે આ જમીન કોઈ બીજો ખેડૂત નહીં પણ ઇન્વેસ્ટરો ખરીદે છે, જેનાથી જમીન વેચનાર વ્યક્તિ ખેડૂત મટી જાય છે. ખેડૂત પોતાની ઓળખ ન ગુમાવે તે માટે ખોટા ખર્ચ અને દેખાદેખી બંધ કરવી જોઈએ, તેમ તેમણે સમાજને ભારપૂર્વક જણાવ્યું હતું.
ચાર લોકોના મોત બાદ રાપરમાં કાર્યવાહી:250થી વધુ રખડતા આંખલા પકડી પાંજરાપોળ મોકલાયા
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં રખડતા આંખલાઓના કારણે ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાઓ અને લોકોની રજૂઆતો બાદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને આંખલાઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક પખવાડિયાથી રાત્રી દરમિયાન આ કામગીરી નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના વડપણ હેઠળ ચાલી રહી છે. નગરપાલિકાના સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાનજીભાઈ ડોડીયા, વિષ્ણુ, પિન્ટુ અને લલિતની ટીમે રાપર શહેરના સલારીનાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, માલી ચોક, અયોધ્યાપુરી, પ્રાગપર ચોકડી, એસટી બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી છે. નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અઢીસો જેટલા રખડતા આંખલાઓને રાપર, ત્રંબો, સુવઈ, ફતેગઢ, પલાંસવા, ગાગોદર અને પદમપર સહિતની પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યા છે. પકડીને ગૌશાળા અને પાંજરાપોળમાં મૂકવામાં આવેલા આ ઢોરો અને આંખલાઓ શહેરમાં પરત ન આવી જાય તે માટે સંચાલકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, રખડતા આંખલાઓ અને ઢોરોને પકડવાની કામગીરી જ્યાં સુધી તમામ આંખલાઓ અને રખડતા ઢોરો પકડાઈ ન જાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત, જાહેરમાં કચરો નાખતા વેપારીઓ અને ઘાસચારો નાખતા લોકોને કડક સૂચના આપી કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર છાલિયા તળાવ પાસે મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોલેરો પિકઅપ, આઈશર, ટ્રક અને ડમ્પર સહિતના વાહનો વચ્ચે ટક્કર થતાં હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર લાઈટો બંધ હોવાને કારણે દૃશ્યતા ઓછી રહે છે, જેના કારણે આવા અકસ્માતો વારંવાર બનતા હોય છે.
વલસાડ જિલ્લાના નાનાપોંઢા મામલતદારની સરકારી ગાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મામલતદારની ગેરહાજરીમાં સરકારી ગાડીનો ડ્રાઇવર લાલ લાઇટ ચાલુ રાખીને બેફામ રીતે વાહન ચલાવતો જોવા મળે છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના નેશનલ હાઇવે પર બની હતી. ડ્રાઇવરે લાલ લાઇટ ચાલુ રાખીને ઝડપી અને જોખમી રીતે વાહન હંકાર્યું હતું, જેના કારણે અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થયું હતું. નિયમો અનુસાર, જ્યારે મામલતદાર ગાડીમાં હાજર ન હોય ત્યારે લાલ લાઇટ ચાલુ રાખવી એ નિયમભંગ ગણાય છે. જાણવા મળ્યા મુજબ, ડ્રાઇવર વલસાડ ખાતે રહેતા મામલતદારને કેટલાક દસ્તાવેજો આપવા જઈ રહ્યો હતો. આ ઘટના બાદ સરકારી વાહનના દુરુપયોગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વીડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી અને શિસ્ત પર પણ સવાલો ઊભા થયા છે. આ અંગે નાનાપોંઢા અને વાપીના મામલતદાર નવીન ચૌવરાએ જણાવ્યું હતું કે, તેમણે વાપી અને નાનાપોંઢા ખાતે ચાલી રહેલી SIRની લોકસુનવણીના પેપર અને ફરિયાદ નિવારણ કાર્યક્રમની ફાઇલ મંગાવી હતી. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધી ડ્રાઇવરે તેમની હાજરી વગર ક્યારેય લાલ લાઇટ ચાલુ રાખી નથી. તેમ છતાં, વીડિયોના આધારે ડ્રાઇવરને નોટિસ આપી યોગ્ય જવાબ લેવામાં આવશે અને કાર્યવાહી કરાશે.
વડોદરા શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે સુસેન સર્કલ પાસે એક રીક્ષા અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે ટ્રાફિક પોલીસ અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. રીક્ષામાં સવાર વૃદ્ધ દંપતી અને રિક્ષા ચાલકને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા, જોકે વૃદ્ધ દંપતીને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. રીક્ષા સુસેન સર્કલથી મકરપુરા ડેપો તરફ જઈ રહી હતી. આ દરમિયાન એક બાઇક સવાર રોંગ સાઇડથી આવી જતા રીક્ષા ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ પ્રયાસમાં રીક્ષાનું નિયંત્રણ ગુમાવી દેતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક લોકોએ રીક્ષામાં ફસાયેલા વૃદ્ધ દંપતી અને ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. વૃદ્ધ દંપતીને તાત્કાલિક તબીબી સારવાર અપાઈ હતી, જ્યાં તેમને નાની ઇજાઓ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને લઈને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક અટકી ગયો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.
વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણમાંથી બે વ્યક્તિઓ પાસે હથિયારો મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી, આ હથિયારો ક્યાંથી આવ્યા અને તે ક્યાં લઈ જવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હોટલના રૂમમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યાપ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા નજીક વેમાલી ગામની સીમમાં આવેલી હોટેલ રોયલ પેલેસ પર ગુપ્ત માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી. હોટેલના ચોથા માળે રૂમ નંબર 412માં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી બે પિસ્ટલ, એક બારબોર ગન અને કાર્તૂસ મળી આવ્યા હતા. ત્રણેય પાસેથી પિસ્ટલ, કાર્તૂસ સહિતના હથિયારો મળી આવ્યાઝડપાયેલા વ્યક્તિઓમાં અમિતકુમાર શ્રીકાંતકુમાર હિન્નરિયા (ઉંમર 27 વર્ષ, વ્યવસાય વેપાર, રહેવાસી લહાર, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી એક પિસ્ટલ, બારબોર ગન અને 17 પિસ્ટલ કાર્તૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય વ્યક્તિ રવિ બિરેન શર્મા (રહેવાસી મોહનપુરા, લહાર, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી એક પિસ્ટલ, 17 કાર્તૂસ અને 4 ખાલી કાર્તૂસ મળી આવ્યા છે. કુલ મળીને રૂપિયા 7,66,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અટકાયત કરાયેલા શખસો પાસેથી બે બંદૂકના લાયસન્સ પણ મળ્યાઆ અંગે મંજુસર પોલીસ મથકના PI વી.બી. ચૌહાણે જણાવ્યું હતું કે, આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઇસમો પાસેથી હથિયારો સાથે કાર્તૂસ મળી છે, સાથે બે બંદૂકના લાયસન્સ પણ મળી આવ્યા છે. પોલીસ વેરીફાય કરી રહી છે બાદમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જાણવા જોગ ગુનો નોંધ્યોઆ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, આ વ્યક્તિઓ કોણ છે અને તેઓ કયા હેતુથી હથિયારો સાથે રાખીને વડોદરા આવ્યા હતા, આ હથિયારનો ઉપયોગ કયા કરવાના હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત:હેડક્વાર્ટરના રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ગત રાત્રિના સમયે ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સાંતેજ પોલીસ સ્ટેશનના ખાત્રજ-શેડફા રોડ પર કારોલી ગામના પાટીયા નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન એક સીએનજી રીક્ષામાંથી 79 હજારની કિંમતનો આશરે 400 દેશી દારૂનો જથ્થો ઝડપી લઇ બે શખ્સોની 1.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને રીક્ષામાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીની બાતમી મળીમળતી માહિતી અનુસાર, ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, એક સીએનજી રીક્ષામાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થઈ રહી છે. જે બાતમી મુજબ આધારે પોલીસે ખાત્રજ-શેડફા રોડ પર કારોલી ગામના પાટીયા નજીક વોચ ગોઠવી દીધી હતી. 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠીબાદમાં બાતમી મુજબની રીક્ષા (નંબર GJ-01-TH-5078) આવતાં જ તેને આંતરીને પોલીસે તલાશી લીધી હતી. રીક્ષામાંથી આશરે 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ દરોડા દરમિયાન 79 હજારનો 396 લિટર દેશી દારૂ, સીએનજી રીક્ષા, મોબાઇલ ફોન મળીને કુલ રૂ.1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રીક્ષામાં સવાર બે શખ્સોની પૂછતાછ હાથ ધરી હતી. બેની ધરપકડ, બેને શોધવા ચક્રો ગતિમાન કર્યાઆ બને શખ્સો અમદાવાદના નોબલનગર વિસ્તારમાં રહેતા ગોરખનાથ ઉર્ફે મુછડ અને સરદારનગરના દશરથ ઉર્ફે પીંન્ચુ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ઝાકીર ઇસ્માઇલ શેખે મંગાવ્યો હતો. જેના પગલે કડીના કરણનગર પાસે કેનાલ પરથી દારૂ ભરાવનાર અજાણ્યા ઇસમ સહિત કુલ બે શખ્સોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી એપ્રિલ માસના બીજા સપ્તાહથી શહેરના તમામ 18 વોર્ડમાં વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ પ્રક્રિયાને સુચારૂ રૂપે પાર પાડવા માટે તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સંબંધિત સ્ટાફની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવનાર છે. વર્ષ 2011 બાદ લાંબા સમય પછી યોજાનારી આ વસ્તી ગણતરીમાં રાજકોટ શહેરના ભૌગોલિક વિસ્તારમાં થયેલા વધારાને કારણે વસ્તીનો કુલ આંકડો 20 લાખને વટાવી જાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. બે તબક્કામાં હાથ ધરાશે વસ્તી ગણતરી ચૂંટણી શાખાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, અગાઉ 2020માં વસ્તી ગણતરી કરવાની હતી પરંતુ કોરોનાને કારણે કામગીરી થઈ નથી. જોકે હાલમાં સરકાર દ્વારા વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વસ્તી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. જેનો પ્રથમ તબક્કો એપ્રિલ 2026 થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ સમય દરમિયાન 'હાઉસ લિસ્ટિંગ' એટલે કે મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે. આ તબક્કામાં દરેક એરિયા અને વોર્ડના નકશા તૈયાર કરી, ઘરદીઠ પ્રાથમિક વિગતો એકત્રિત કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાઉસ લિસ્ટિંગ તબક્કો પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થશે, જેમાં સત્તાવાર રીતે 'પોપ્યુલેશન એન્યુમરેશન' એટલે વસ્તીની વાસ્તવિક ગણતરી કરવામાં આવશે. આ તબક્કામાં ઘરના નંબરના આધારે દરેક વ્યક્તિની વિગતવાર માહિતી મેળવવામાં આવશે. જેમાં નવા જન્મ થયા હોય તેમજ કોઈના મૃત્યુ થયા હોય તે તમામ માહિતી આવરી લેવામાં આવશે. ગણતરીના અંતિમ ચરણમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં રખડતા-ભટકતા અને ઘરવિહોણા લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે, જેથી શહેરની વસ્તીનો સાચો આંકડો સામે આવશે. 4000 થી વધુ કર્મચારીઓનો કાફલો મેદાનમાં આટલી વિશાળ કામગીરી માટે અંદાજે 4000 જેટલા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ 4500 જેટલો સ્ટાફ ઉપલબ્ધ છે, પરંતુ માત્ર મનપાના સ્ટાફથી આ કામગીરી પૂર્ણ કરવી શક્ય નહીં હોવાથી કલેક્ટર મારફત અન્ય સરકારી સંસ્થાઓની મદદ લેવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનપા હસ્તકની શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ તેમજ વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓને અને કલેક્ટર તંત્રનાં કર્મચારીઓને પણ આ ફરજમાં જોડવામાં આવશે. રાજકોટનો વધતો જતો વિસ્તાર અને વસ્તીનો ઇતિહાસરાજકોટ શહેરના ભૌગોલિક નકશામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ફેરફાર થયા છે. વર્ષ 1998માં રૈયા, નાનામૌવા અને મવડી જેવા વિસ્તારો ભળતા શહેરનો કુલ વિસ્તાર 104.86 ચોરસ કિમી થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2015માં કોઠારીયા અને વાવડીનો સમાવેશ થતા તે વધીને 129.21 ચોરસ કિમી થયો હતો. છેલ્લે જૂન 2020માં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-1 જેવા વિસ્તારો ભળ્યા બાદ હાલ રાજકોટ શહેરનો કુલ વિસ્તાર 161.86 ચોરસ કિમી પર પહોંચ્યો છે. 40 વર્ષમાં વસ્તી 4.44 લાખથી 13 લાખ પહોંચી 1981: 4.44 લાખ1991: 5.50 લાખ2001: 10.00 લાખ2011: 13.46 લાખ વર્ષ 2011ની છેલ્લી ગણતરીમાં માત્ર રૈયા, નાનામૌવા અને મવડીનો જ સમાવેશ હતો. જોકે, આ વખતે નવા ભળેલા તમામ વિસ્તારોના કારણે વસ્તીમાં મોટો ઉછાળો જોવા મળશે. અધિકારીઓના મતે, કોવિડ-19 ને કારણે 2021માં જે ગણતરી અટકી હતી તે હવે 2026-27માં થવા જઈ રહી છે, જેના કારણે દાયકાના બદલે 15 વર્ષના અંતરાલમાં વસ્તીનો આંકડો 20 લાખની સપાટી ક્રોસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી એપ્રિલ 2026થી વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. વર્ષ 2011 પછી પ્રથમ વખત આટલા મોટા પાયે ગણતરી હાથ ધરવામાં આવી રહી હોવાથીતંત્ર દ્વારા હાલમાં આ કામગીરી માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જેથી આગામી એપ્રિલથી કોઈ પણ અડચણ વગર ડેટા કલેક્શનની પ્રક્રિયા શરૂ કરી શકાય. આ વસ્તી ગણતરીમાં મોટામૌવા, મુંજકા, માધાપર જેવા નવા વિસ્તારોનો પ્રથમવાર સમાવેશ થશે. જેને લઈને કુલ 161.86 ચોરસ કિમીમાં ફેલાયેલા રાજકોટની વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ છે. ગત(21 જાન્યુઆરી) મોડી રાતે બે યુવકો વચ્ચે પબજી ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને યુવકની હત્યા કરાઈ છે. ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલ મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે અનિલ અમરસિંગ લુહારિયા રે.કઠલાલ તા. ખેડાને દોષિત ઠેરવીને મુખ્ય સજા તરીકે 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલે રૂ.55000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખ્ત કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો.આઇપીસી 363 અને 366 અંતર્ગત રૂ.5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા ફટકારી હતી. ભોગ બનનારને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્ર જે.બારોટે રજુઆત કરી હતી કે,જયારે ભોગ બનનાર સગીર વયની છે અને સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુ છે. તેનાં કારણે તેને ખૂબ જ શારિરીક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભોગ બનનાર ઉપર થયેલ બળાત્કારનો ગુનો પૂરવાર થતો હોય ત્યારે અદાલતે હળવું કે કુણું વલણ અખત્યાર કરવું જોઇએ નહિં. સમાજમાં ખાસ કરીને સગીર બાળાઓ સાથે પ્રેમની લાલચ આપીને ભગાડી જઇને દુષ્કૃત્યનાં કિસ્સા ખૂબ જ વધતાં હોય ત્યારે આરોપીને દાખલો બેસાડે તે રીતેની મહત્તમ સજા કરવા અને મહત્તમ વળતર અપાવવા રજૂઆત કરી હતી. પાટણની સ્પે. પોસ્કો કોર્ટનાં જજે બન્ને પક્ષો ની રજૂઆતો સાંભળી પોતાનાં 27પાનાંના ચુકાદામાં જણાવ્યુ કે, ભોગ બનનાર સગીરા હતી અને તે સંમતિ આપવાને લાયક ન હતી.તે તેનું સારૂં નરસું વિચારી શકે તેમ નહોતી. આરોપી ભોગ બનનારની ઉંમર જાણતા હોવા છતાં ભોગ બનનારને તેનાં કાયદેસરનાં વાલીપણામાંથી દૂર કરેલી છે. અને અન્ય સ્થળોએ લઈ જઈને આરોપીએ તેની સાથે દુષ્કર્મ કરેલું છે.તેથી આરોપી દયાને પાત્ર જણાઇ આવતા નથી. ચાણસ્મા તાલુકાનાં એક ગામની સગીરા અને તેની બહેન સાતેક વર્ષ પૂર્વે તેની બીજી બહેન સાથે લાકડાં લેવા ગયેલી તે પછી સગીરા ગુમ થતાં તેની શોધખોળ કરતા તેનો પત્તોન મળતાં તેમના પરિવારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કિશોરીની શોધખોળ દરમ્યાન ચાણસ્મા તાલુકાનાં ગોરાદ રોડ પર ફાટક નજીક રીક્ષા લઇને ઉભેલા ઉપરોકત આરોપી અનીલને જોઈને પરિવારે બુમો પાડતાં તે નાસી ગયો હતો. પછી, પરિવારે કિશોરીની શોધખોળ ચાલુ રાખતાં તેનો પત્તો ન મળતાં ફરિયાદ કરી હતી. જેની તપાસ દરમ્યાન કઠલાલ ખાતેથી કિશોરી મળી આવી હતી. તેની પૂછપરછમાં તેણે આરોપી સાથે અલગ અલગ જગ્યાએ રહી હતી અને પાવાગઢમાં એક નાના મંદિરમાં આરોપીને તેને મંગળસૂત્ર પહેરાવી અને માથામાં સિંદુર ભરીને લગ્ન કર્યા હતા અને આરોપીએ તેની સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવતાં તેની સામે પોલીસે પોકસોની કલમોનો વધારો કરીને અટકાયત કરી હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે તેને આજે સજા ફટકારી હતી.
અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં 75 વર્ષ જૂની પાણીની ટાંકી આખરે તોડી પાડવામાં આવી છે. 21 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પાણીની ટાંકીનો ભાગ હિટાચી મશીન વડે નીચેના ભાગે મારી અને આખી ટાંકી ધરાશાયી કરી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાંકી ઉતારવામાં કોઈપણ જાનહાનિ ન થાય તેના માટે પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી સાળંગપુર તરફ અને સાળંગપુરથી પાણીની ટાંકી તરફ જવાના રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. મોડી રાત્રે 3:30 વાગ્યાની આસપાસ આખી ટાંકી ધરાશાયી કરી દેવામાં આવી હતી. હિટાચી મશીનથી નીચેના ભાગે મારી ટાંકી તોડાઈ: ડેપ્યુટી મ્યુનિ. કમિશનરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે સાળંગપુર પાણીની ટાંકીનો બાકીનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. પાણીની ટાંકીની આસપાસ મોટા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યા પછી કાલુપુર અને સાળંગપુર તરફના અવર-જવરના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ સંપૂર્ણ પણે તકેદારી રાખીને પાણીના ટાંકીના નીચેના ભાગ પર હિટાચી મશીનથી ભાગને તોડી પાડવામાં આવ્યો જેનાથી આખી ટાંકી પડી ગઈ હતી. 3 વાગ્યાની આસપાસ પાણીની ટાંકી સંપૂર્ણપણે ધરાશાયીમોડી રાત્રે ત્રણ વાગ્યાની આજુબાજુ પાણીની ટાંકી સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. જે બાદ તાત્કાલિક ધોરણે રોડ પર અવર-જવર શરૂ કરવાની હોવાના કારણે રાત્રે જ સફાઈ કામગીરી પણ શરૂ કરાવી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કાટમાળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મોટા પથ્થરોને હિટાચી મશીનથી તોડી અને ત્યારબાદ કાટમાળ સંપૂર્ણપણે ત્યાંથી ખસેડી લેવામાં આવશે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સંપૂર્ણપણે તકેદારી રાખી અને આ પાણીની ટાંકીને તોડવામાં આવી છે.
વીજ કરંટથી યુવાનના મોત: કોર્ટનો મહત્વનો ચુકાદો:UGVCLને 7.66 લાખ વળતર 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ
પાટણ તાલુકાના બાલીસણા ગામે વર્ષ 2020માં વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામેલા 19 વર્ષીય સમીર યુસુફભાઈ શેખના પરિવારને 7.66 લાખ રૂપિયાનું વળતર 6 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ પાટણની સિવિલ કોર્ટે કર્યો છે. વીજ કંપનીની મેન્ટેનન્સમાં નિષ્કાળજીને કારણે આ દુર્ઘટના બની હોવાનું ઠરાવી કોર્ટે વચગાળાનું વળતર બાદ કરી બાકીની રકમ ચૂકવવા ઉત્તર ગુજરાત વીજ કંપનીને આદેશ આપ્યો છે. આ ઘટના 3-4-2020ના રોજ બાલીસણા ગામે બની હતી, જેમાં સમીર યુસુફભાઈ શેખનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મૃતકના પિતા યુસુફભાઈ, માતા, ભાઈ અને બહેન સહિત પરિવારના સાત સભ્યોએ પાટણની કોર્ટમાં વળતર મેળવવા માટે દિવાની દાવો દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન પાટણના પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ ડી.એમ. ચૌહાણે તમામ પક્ષોની રજૂઆત સાંભળીને વીજ કંપનીની ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું. કોર્ટે અવલોકન કર્યું હતું કે ઝાડમાંથી પસાર થતા વીજ તારનું તાત્કાલિક મેન્ટેનન્સ ન કરવાના કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે વાદી પક્ષ નુકસાન વળતર મેળવવા માટે હકદાર છે. મૃતક સમીરના પરિવાર વતી એડવોકેટ એચ.આર. પઠાણે 35,12,000 રૂપિયાના વળતરની માંગણી કરી હતી. જોકે, કોર્ટે મૃતકની ઉંમર અને આવકના સાધનોને ધ્યાને રાખીને વળતરની ગણતરી કરી હતી. ઘટના સમયે સમીરની ઉંમર 19 વર્ષની હતી, જેને ધ્યાનમાં રાખી 21 વર્ષની ઉંમરથી તે કમાવા માટે સક્ષમ થાય અને 55 વર્ષની વય સુધીની કારકિર્દી ગણી કુલ 34 વર્ષની ભવિષ્યની આવકની નુકશાની ગણવામાં આવી હતી. કોર્ટે માસિક 2,000 રૂપિયા લેખે વાર્ષિક 24,000 મુજબ 34 વર્ષનું કુલ વળતર 8,16,000 રૂપિયા અંદાજ્યું હતું. જેમાંથી વીજ કંપની દ્વારા અગાઉ ચૂકવવામાં આવેલા 50,000ના વચગાળાના વળતરને બાદ કરતા ચોખ્ખી 7,66,000ની રકમ મંજૂર કરવામાં આવી હતી. વ્યાજના દર અંગે વાદી પક્ષે 9ટકા નીમાંગણી કરી હતી, પરંતુ કોર્ટે વર્તમાન રિઝર્વ બેંક તથા રાષ્ટ્રીયકૃત બેંકોના વ્યાજદરોને જોતા 6ટકા સાદું વ્યાજ ન્યાયોચિત ગણાયું. આ વળતરની રકમ દાવાની તારીખથી ચૂકવવાનો આદેશ કરાયો છે. આ આદેશનું પાલન કરવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીની રણુંજ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર, ગાંધીનગર વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર અને મહેસાણા સર્કલ ઓફિસને નિર્દેશ આપવામાં આવ્યા છે.
થાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા:નાયબ કલેક્ટરની ટીમે કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવી
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે 1 વાગ્યે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત થાનગઢના સૂર્યા ચોકથી તરણેતર જવાના રસ્તાની બંને બાજુએ આવેલા સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કુલ 231 કોમર્શિયલ દુકાનો, 7 સેનેટરી વેરના કારખાના, દુકાનોમાં બનેલી આશાપુરા હોસ્પિટલ અને 17 રહેણાંક મકાનો સહિત કુલ 260 દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ દબાણો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાકા બાંધકામો કરીને કરવામાં આવ્યા હતા. થાનગઢ મામલતદાર દ્વારા દબાણકર્તાઓને 6 ઓગસ્ટ, 2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણકર્તાઓએ તેનું પાલન કર્યું ન હતું, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. દબાણદારો દ્વારા કોમર્શિયલ અને રહેણાંક હેતુ માટે ઉપયોગમાં લેવાતી આ જગ્યાઓનું ભાડું ઉઘરાવવામાં આવતું હોવાનું પણ ધ્યાને આવ્યું છે, જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. થાનગઢ, અમરાપર અને સોનગઢ ગામની નગરપાલિકાને અડીને આવેલી આ 52-00 ગુઠા સરકારી જમીનની વર્તમાન બજાર કિંમત આશરે 210 કરોડ 26 લાખ રૂપિયા છે. ખુલ્લી થયેલી આ જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ અને જાળવણી માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
ધરમપુરના ભેંસધરામાં યુવકનો આપઘાત:પત્ની-બાળકોના વિયોગથી માનસિક તણાવમાં હતો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે 37 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પત્ની અને બાળકો પિયર જતાં રહેવાના કારણે યુવક માનસિક તણાવમાં હતો, જેના પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભેંસધરા ગામના ચીમનભાઈ છનાભાઈ રાવતાના 37 વર્ષીય પુત્ર સુભાષ રાવતા 20 જાન્યુઆરીના રોજ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓની મદદથી પણ સુભાષની શોધખોળ ચાલુ રહી હતી. ત્યારબાદ 21 જાન્યુઆરીના રોજ બપોરે સુભાષ ઘર નજીક આવેલી આંબાવાડીમાં ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક ધરમપુર પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સુભાષ અને તેની પત્ની વચ્ચે પારિવારિક વિવાદ ચાલતો હતો. ઝઘડાના કારણે પત્ની બાળકો સાથે પિયર રહેવા જતી રહી હતી. એક વર્ષ પહેલાં સ્થાનિક આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થતાં પત્ની ફરી ઘરે આવી હતી, પરંતુ થોડા સમય બાદ ફરી વિવાદ સર્જાતા પત્ની બાળકો સાથે પિયર જતી રહી હતી. પરિવાર દ્વારા અનેક વખત સમજાવવાના પ્રયાસો છતાં પત્ની પરત ન ફરતા સુભાષ માનસિક તણાવમાં રહેતો હતો. પરિવારજનોએ પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે કે પત્ની અને બાળકોના વિયોગના કારણે ઊભા થયેલા માનસિક દબાણને કારણે સુભાષે આપઘાત કર્યો હોઈ શકે છે. ધરમપુર પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ તાલુકાના નાની દાંતી દરિયા કિનારે દરિયાઈ માર્ગે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડુંગરી પોલીસે દમણથી બોટ દ્વારા લાવવામાં આવતો રૂ. 5.38 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગત તા. 20 જાન્યુઆરી 2026ના રોજ ડુંગરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાની દાંતી ગામના વાડી ફળિયા પાસેના દરિયા કિનારે બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કિનારે લાંગરેલી એક બોટ (કોટીયું)માંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 1896 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત રૂ. 4,38,067/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી બોટની કિંમત રૂ. 1,00,000/- ગણવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 5,38,067નો મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે રમેશભાઈ ઉર્ફે રમેશ કેસી રવજીભાઈ પટેલ અને આશિષ ઉર્ફે સ્વામી રમેશભાઈ ઉર્ફે રમેશ કેસી પટેલ (બંને રહે. કકવાડી, વાણીયા ફળિયા, વલસાડ) નામના બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ કોઈપણ પાસ-પરમિટ વગર દમણથી પોતાની બોટમાં દારૂ ભરી દરિયાઈ માર્ગે વલસાડમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. ડુંગરી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ અને શોધખોળ ચાલી રહી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ટીપી 44 સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની સાતથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આખા ગોડાઉનને ઝપેટમાં લઈ લીધું હતું. ગોડાઉનના શેડનો ભાગ પણ ધરાશાયી થઈ ગયો હતો. હાલમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જોકે ફાયરની ટીમ દ્વારા હાલ કાટમાળ નીચે કુલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. વહેલી સવારે ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે જણાવ્યું હતું કે, વહેલી સવારે ચાંદખેડા ટીપી 44 વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર કેશવબાગ તરફ જતા આવેલા ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગી હતી તે અલગ અલગ ઈ કોમર્સ કંપનીઓના માલ સામાન સપ્લાય કરવા માટેનું ગોડાઉન હતું. આગના કારણે ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો ગોડાઉનમાં ઇન્સ્ટાકાર્ટ કંપનીનો માલ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની સાત ગાડીઓ અને ચાર ઓફિસર વ્હીકલ સાથે તાત્કાલિક સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. શેડ બનાવીને ગોડાઉન બનાવવામાં આવેલું છે, જેમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો હતો. કાટમાળ નીચે કુલિંગ કરવાની પ્રક્રિયા શરૂગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. જેના કારણે એક તરફનો શેડનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. શેડની નીચે પણ આગની જ્વાળાઓ અને આગ લાગી શકે તેવી સંભાવના હોવાના કારણે ત્યાં હાલ ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ગોડાઉનમાં પાછળના ભાગે તપાસ કરી હતી જ્યાં ફાયર સિસ્ટમ હાલમાં લાગેલી હોવાનું ધ્યાને આવ્યું છે. ગોડાઉનના સંચાલક અથવા માલિકને બોલાવી અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના અને કુલિંગ કરવાની પ્રક્રિયા ચાલુ હોવાની વિગતો મળી રહી છે.
શહેરના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાતે એક પતિએ પહેલા પત્નીને ગોળી મારી હતી જે બાદ પોતે પણ પોતાના માથે ગોળી મારી આત્મહત્યા કરી છે. પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કારણે જ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ બનતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા તપાસ હાથ કરવામાં આવી રહી છે. પતિ-પત્ની વચ્ચે થયેલાં ઝઘડાએ લીધો ઉગ્ર સ્વરૂપ મળતી માહિતી મુજબ જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા. બંનેના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. ગત મોડી રાતે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પતિએ પણ આપઘાત કર્યો ઝઘડો વધતા યશરાજે પત્ની રાજેશ્વરી પર હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી, જેથી યશરાજે 108ને જાણ કરી હતી. 108 પહોંચતા તબીબ દ્વારા રાજેશ્વરીને મૃત જાહેર કરવામાં આવી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નિકળતા જ યશરાજે પણ પોતાના માથે હથિયાર વડે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ બનાવ બનતા આસપાસના લોકો ભેગા થયા હતા. પોલીસને જાણ કરતા ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી, વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભારતની આઝાદી સાથે સંબંધિત આ બંને રાષ્ટ્રીય તહેવારોનું ઐતિહાસિક મહત્વ છે. જો કે ઘણાં લોકોને સ્વતંત્રતા દિન અને ગણતંત્ર દિન વચ્ચેના તફાવતની ખબર હોતી નથી. દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસમાં શું ફેર છે? 26મી જાન્યુઆરીએ ક્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે? આવા સવાલો કર્યા હતા. જેમાં એક કાકાએ તો કોન્ફીડન્સથી લોચા માર્યા હતા, જ્યારે લવરમૂછીયાએ અનએક્સપેક્ટેજ જવાબ આપ્યો હતો. આ જવાબો જાણવા ઉપરની તસવીર ક્લિક કરો
25 ડિસેમ્બરના રોજ, જર્મની જઇને વસેલા ભારતીય મૂળના જાણીતા યુટ્યૂબર અને ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીએ યુટ્યૂબ ચેનલ પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તેણે જાહ્નવી, બિપાશા બાસુ, શ્રુતિ હસન, દીપિકા પાદુકોણ, શિલ્પા શેટ્ટી, કાજોલ અને પ્રિયંકા ચોપરા સહિત અનેક બોલિવૂડ કલાકારોના નામનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે તેમણે કોઇ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને વારંવાર પોતાના કન્ટેન્ટ થકી વિવાદોમાં રહેતા ધ્રુવ રાઠી પર પસ્તાળ પડી. લોકોએ એના વીડિયો નીચે અને બીજી જગ્યાએ એને સખત રીતે ઝાટકી નાખ્યો. આ વિવાદને મૂકીને ધ્રુવ રાઠીની પ્લાસ્ટિક સર્જરીના દાવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો ફલાણી બોલિવૂડ કે હોલિવૂડ અભિનેત્રીઓએ પ્લાસ્ટિક સર્જરી કરાવી, બોટોક્સ ટ્રિટમેન્ટ લીધી, ફિલર લીધા, સ્કિન ટ્રીટમેન્ટ કરાવી વગેરે વાતો ચર્ચાતી જ રહેતી હોય છે. ખાસ કરીને દુનિયાભરની સ્ત્રી પછી એ કોઇપણ ઉંમરની હોય, આ વાતમાં જબરજસ્ત રસ પડે છે અને રસ કેમ ના પડે? વાત આખરે સુંદરતા અને સુંદર દેખાવા માટેની છે. સદીઓથી સૌંદર્યનું આકર્ષણસદીઓથી અલગ અલગ સંસ્કૃતિઓમાં સ્ત્રીઓ પર સુંદર દેખાવું ઇચ્છનીય રહ્યું છે. બલ્કે એના માટેનું દબાણ પુરુષ પ્રધાન સમાજમાં રહ્યું છે અને જૂના ભારતીય, જાપાનીઝ, ચાઇનીઝ, રોમન, ગ્રીક વગેરે ગ્રંથોમાં સ્ત્રીની સુંદરતા, સાજ-શણગાર અને એ દ્વારા જીતાયેલા અને લડાયેલા રાજકીય યુદ્ધો અને દાવ પેચનો ઉલ્લેખ પણ છે. માટે જ ઇજિપ્શિયન રાણી ક્લિયોપેટ્રાના સમયથી લઇને, આજની કાયલી જેનર, કેટરિના કેફ સુધી દરેકને સુંદર દેખાવું અને સૌંદર્ય ઉદ્યોગ દ્વારા પૈસા કમાવાની ઘેલછા છે. નફાકારક ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરીવર્ષ 2025 માં વૈશ્વિક સ્તરે 700+ બિલિયન ડોલર રેવન્યૂ સાથે બ્યૂટી એટલે કે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી એક વિશાળ, વિકસતી અને નફાકારક ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરી આવી છે. કોસ્મેટિક ઉદ્યોગ, કોસ્મેટિક ઉત્પાદન અને વિતરણ, સ્કિન કેર, મેક અપ અને ફ્રેગરન્સ સંબંધિત ઉત્પાદનોના સમાવેશ સાથે વૈશ્વિક અર્થતંત્રની એક મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરી રહી છે અને આ ઉત્પાદનોની વર્તમાન માંગ, ઘેલછા અને માર્કેટિંગના કારણે નિષ્ણાતો માને છે કે આ ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ છે. અબજો ડોલરનો ઉદ્યોગમાટે જ વિશ્વની સૌથી મોટા અને જાણીતા સૌંદર્ય ઉદ્યોગના ખેલાડીઓ લોરિયલ, એસ્ટી લોડર, કોટી, નિવિયા, શિસેડો અને ચેનલ, રેવલોન, ગુચી, ડોલચે એન્ડ ગબાના અબજો ડોલર્સ કમાય છે અને કરોડો ડોલર્સ માર્કેટિંગ, બ્રાન્ડ મેનેજમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટમાં ખર્ચે છે. સોશિયલ નેટવર્ક આવ્યા પછી, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, વ્યક્તિગત વ્લોગ્સ વગેરે દ્વારા નાના, મધ્યમ કે વિશાળ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનોનું વ્યક્તિગત માર્કેટિંગ અને બ્રાન્ડ એમ્બેસેડર બનીને લાખો ઈન્ફ્લુએન્સર ઝીરો રોકાણ વગર એન્જિનિયર કે ડોક્ટર કરતા ઘણું વધારે કમાય છે. ઉપરાંત આ સૌંદર્ય ઉદ્યોગ લોકો ને બાહ્ય સુંદરતા બક્ષવા સાથે અંદાજે 4.5 મિલિયન(અમેરિકાના આંકડા) લોકો ને રોજગારી આપે છે. અને આ આંકડાઓ ઘણી બધી અલગ અલગ ક્ષેત્રની સેલીબ્રિટીઝને કોસ્મેટિક ઉદ્યોગમાં રોકાણ માટે ખેંચી લાવી છે જેમ કે કાયલી જેનર, કેટરિના કેફ, જેનિફર લોપેઝ, રિહાના વગેરે. પુરુષો માટેની વિશેષ પ્રોડક્ટ્સ, ડિજિટલ ઇન્ડસ્ટ્રી અને ટકાઉ/કુદરતી વસ્તુઓના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સૌંદર્ય ઉદ્યોગ અને જેનો વિકાસ અને માંગ કોરોના વાયરસ વખતે પણ થંભ્યો નહોતો, સતત આગળની દિશામાં ગતિ કરી રહ્યો છે અને એમાં એશિયા પેસિફિક અગ્રણી છે. લિપસ્ટિક ઇફેક્ટ શું છે?કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં 'લિપસ્ટિક ઇફેક્ટ' નામની એક ઘટનાનો ઉલ્લેખ વારંવાર થાય છે. જ્યાં ગ્રાહકો આર્થિક મંદી દરમિયાન પણ લિપસ્ટિક જેવી નાની લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ચાલુ રાખે છે. આ વલણ સૂચવે છે કે નાણાકીય અનિશ્ચિતતાનો સામનો કરતી વખતે ગ્રાહકો મોટા ખર્ચ છોડી શકે છે પરંતુ આરામ, સંતોષ, સુંદરતા આપતી સસ્તી લક્ઝરી વસ્તુઓમાં ખર્ચ કરવાનું ચૂકતા નથી. અને આ 'લિપસ્ટિક ઇફેક્ટ' સૌંદર્ય ઉદ્યોગનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એ ભાખી આપે છે. કહે છે કે પ્રેમ આંધળો નથી હોતો માટે સુંદર દેખાવ! અને આથી જ કોરોના મહામારી, સ્ત્રીઓનું વસ્તુકરણ, રંગ ભેદ, એનિમલ ટેસ્ટિંગ, અને આ ઉદ્યોગ દ્વારા પર્યાવરણને થતા નુકસાન જેવા વિવાદો છતાં ટકી રહી છે અને ટકી રહેશે!
ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે મહેન્દ્રભાઈ પટેલ પશુપાલન વિભાગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. 80 ગાય રાખી પશુપાલનનો વ્યવસાય કરી રહેલા મહેન્દ્ર પટેલના તબેલાની ભાસ્કરે મુલાકાત લીધી અને મહેન્દ્ર પટેલ આ વ્યવસાયમાં કઈ રીતે સફળ થયા તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. મહેન્દ્ર પટેલ હાલ પશુપાલન થકી દર મહિને ખર્ચ કાઢતા એક લાખ રૂપિયા આસપાસનો નફો મેળવી રહ્યા છે. પશુપાલનનો વ્યવસાયમાં કેટલા પડકારો છે તેને લઈ પણ તેમણે વાતચીત કરી હતી. 2 ગાયથી વ્યવસાયની શરૂઆત કરી, આજે 80 ગાયમહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજથી 13 વર્ષ પહેલા મેં અને મારા ભાઈ રમેશભાઈ દ્વારા બે ગીર ગાયથી પશુપાલનનો વ્યવસાય શરુ કરેલ પણ તે વખતે અમે અમારા પરિવારને શુદ્ધ દૂધ મળી રહે તે માટે પશુ લાવ્યા હતા. બે ગાય લાવ્યા પણ દૂધ ઓછું પડવા લાગ્યુ એટલે બીજી પાંચ ગાય લાવ્યા પછી પાછું ગાયનું દૂધ ઓછું આવવા લાગ્યું એટલે બીજી બે ગાય લાવ્યા એમ કરતાં કરતાં આજે 13 વર્ષ પછી નાના-મોટા કરતાં 80 ગાયો છે. પશુપાલનના વ્યવસાયમાં કોઈ મુશ્કેલી થઈ રહી છે?મહેન્દ્ર પટેલને જ્યારે પશુપાલનના વ્યવસાયમાં પડતી મુશ્કેલી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મુશ્કેલીમાં તો એવું છે કે, માણસોની થોડી તકલીફ પડે બાકી જો તમે સારી રીતે માણસોને રાખતા હોય તો માણસો મળી રહે છે અને હાલમાં જે માણસો ઉચ્ચક રાખ્યા છે તેમનો પગાર 1 લાખ 30 હજાર જેટલો છે. અને દર મહિને 2.5 લાખથી 3 લાખ સુધીનું મારુ ઉત્પાદન છે. હાલમાં રોજનું 120 લીટર જેટલું દૂધ થાય છે અને એક લીટર દૂધ 100 રૂપિયામાં વેચાણ કરીએ છીએ, અને ઓળખીતામાં જ આ દૂધનું વેચાણ કરીએ છીએ અને જો દૂધ વધે તો તેમાંથી ઘી બનાવીએ છીએ અને ઘી 3000 રૂપિયે કિલો વેચાણ કરીએ છીએ. પશુપાલનના વ્યવસાયમાં આવવા માગતા નવા લોકોને આપી ખાસ ટીપ્સમહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, પશુપાલનનો વ્યવસાય નાનાપાયે કરવો હોય તો જાતે કરો તો પોસાય અને જો મોટા પાયે કરવો હોય તો પોસાય બાકી પોસાય નહીં, કારણ કે જો નાના પાયે વ્યવસાય કરે તો રૂપિયા મળે પણ જો મજુરો રાખીને વ્યવસાય શરુ કરે તો મજુરીમાં જ બધા પૈસા જતા રહે, કેમ કે જાતે ગાય દોહવાના હોય, સાફ -સફાઈ રાખવાની તબેલામાં અને ઘાસચારો પણ લાવવો પડે અને જો આ બધું જાતે કરે અને પોતાની જમીન હોય તો પૈસા મળે, દર મહિને મારે ખર્ચો 1 લાખ 30 હજાર પગારની સાથે 60-70 હજાર રૂપિયાનું ખાણ આવે અને મારે 2.50 લાખથી 3 લાખનું ઉત્પાદન છે અને સામે 2 લાખ જેટલો ખર્ચો થાય છે એટલે કોઈ વખત ગાય બિમાર પડી હોય તો તેની દવાનો ખર્ચો પણ આવી જાય. અને કોઈક વખત મારે બીજો ખર્ચો પણ આવી જાય જેમ કે મારી જોડે સુકુ ઘાસ નથી એટલે સુકુ ઘાસ બહારથી લાવવું પડે. મહેન્દ્ર પટેલને ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે એવોર્ડ મળ્યોમહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા તબેલામાં જગ્યા વધારે છે તેમજ ઘાસ કાપવાનું મશીન છે તેમજ ઘાસ પણ અહીંયા ઉગાડવામાં આવે છે અને સરકારની જે જોગવાઈ છે તે મુજબ અમે યોગ્ય છીએ જેને લઈને અમને એવોર્ડ મળ્યો છે. અને એવોર્ડમાં અમને રૂપિયા 25000 મળ્યા છે તેમજ આ વ્યવસાયમાં હું એકલો જ ધ્યાન રાખું છું. વિશેષમાં તેમણે જણાવ્યું કે, 13 વર્ષ પછી આજે એવું લાગ્યું કે, ક્વોલીટી વગર આગળ નહીં ચાલી શકીએ એટલે જો દૂધનું ઉત્પાદન વધારવું હોય તો યોગ્ય નંદી જોઈએ અને જેથી યોગ્ય વાછરડીનો જન્મ થાય જેથી પશુપાલનના વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે. એટલે હું જુનાગઢથી બે નંદી લાવ્યો છું એક નાનો છે અને એક મોટો નંદી છે. જે લગભગ મફતના ભાવમાં ત્યાં આપે છે મારા બે નંદીની કિંમત તેમણે 6700 રૂપિયા લીધા હતા અને ભાડું 13000 રૂપિયા જેવું થયું હતું. અને ઓછા ઢોરમાં વધુ દૂધ મેળવવા માટે ક્વોલિટી વાળી ગાયો રાખવી પડે, નિષ્ણાંતોની સલાહ લઈને વ્યવસાય કરો તો ફાયદો થાય છે. તેમજ પશુઓની પાસે જીવાત ના આવે તે માટે થઈને મરઘાં રાખેલા છે કેમ કે દિવસે તબેલામાં છુટા રાખીયે તો અહીંયા જે જીવજંતુઓ હોય તેને ખઈ જાય જેથી અહીંયા જીવજંતુઓ ઓછા જોવા મળે છે અને ગાયો પણ બિમાર થતી નથી. ગાય બિમાર પડે તો તબેલામાં શું વ્યવસ્થા રાખી છે?ગાય જો બિમાર થાય તો તેને રહેવા માટે અલગ રૂમ બનાવ્યો છે તેમજ ગાય વિયાણ થાય તો તેના માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે કેમ કે જો બિમાર થાય તો અન્ય ગાય પણ બિમાર ના થાય તે માટે ધ્યાન રાખવું પડે. તેમજ મારી જોડે સાઈલેજ બનાવવાનું મશીન પણ છે વધારે લીલું ઘાસ થાય તો ઘાસ કાપીને તેમાંથી સાઈલેજ બનાવીએ છીએ અને જેનાથી ઘાસ 6-7 મહિના સુધી લીલું જ રહે છે એટલે દૂધનું ઉત્પાદન ઘટે નહીં એટલા માટે આ મશીન પણ અમે વસાવ્યું છે. તેમજ મેં ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવ્યો છે જેમાંથી સ્લરી નીકળે તેને અમે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ ગેસ નીકળે તે અહીંયા જે માણસો રહે છે તેઓ રસોઈ કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને ગેસ પાઈપલાઈન દ્વારા દરેકના રુમ સુધી પહોંચાડવામાં આવે છે. સગડીની આગળ એક બુસ્ટર લગાવવામાં આવે છે અને બુસ્ટર ચાલુ કરીએ એટલે ગેસ સળગે છે, પુરુતુ પ્રેશર ના મળે એટલે બુસ્ટર લગાવવામાં આવે છે. તેમજ અમે અમારા પરિવાર પુરતી પ્રાકૃતિક ખેતી કરીને શાકભાજી પણ ઉગાડીએ છીએ અને ખેતી માટે હાલ અહીંયા જે ખાતર બને છે તેનાથી જ કરીએ છીએ અમે કોઈપણ પ્રકારનું કેમિકલ વાપરતા નથી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જેલના ભજીયાનો ઝાયકેદાર સ્વાદ તમે એકવાર તો માણ્યો જ હશે. જ્યાં જેલના કેદીઓ એવા ભજીયા બનાવે છે કે લોકો આવતાની સાથે જ મિનિટોમાં ઝાપટી જાય છે. જો કે હવે તમે જેલના ભજિયાની લિજ્જતની સાથો સાથ કેદીઓના હાથથી પિરસાતી થાળીને પણ માણી શકશો. એટલું જ નહીં ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના સ્વાતંત્ર્યસેનાનીઓના જીવનની ઝાંખીને પણ નિહાળી શકશો. અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલા પ્રખ્યાત જેલ ભજીયા હાઉસને હવે એક હાઇટેક હેરીટેજ લૂક આપવામાં આવી રહ્યો છે. ગાંધી આશ્રમથી થોડા જ અંતરે આવેલી સાબરમતી જેલમાં કેદીઓ દ્વારા ભજીયા બનાવવામાં આવે છે. શરૂઆતમાં આ ભજીયા હાઉસ સુભાષ બ્રિજના ડાબી બાજુના છેડે એટલે કે આરટીઓની સામે શરૂ થયું હતું. રસ્તા પહોળા થતાં તેને આરટીઓ કચેરીના કોર્નર પર અને ત્યારબાદ થોડે દૂર પાકા મકાનમાં ખસેડવામાં આવ્યું હતું. અહીં કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજીયા એટલા સ્વાદિષ્ટ હોય છે કે ત્યાં મોટી મોટી લાઇનો લાગી જાય છે. દિવ્ય ભાસ્કરે નવા બની રહેલું હાઇટેક જેલ ભજીયા હાઉસ કેવું હશે તે વિશે વધુ જાણવા માટે જેલ સુપરિન્ટેન્ડન્ટ ગૌરવ અગ્રવાલ સાથે ખાસ વાતચીત કરી હતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹2.94 કરોડના ખર્ચે 425 ચોરસ મીટરમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળ મળી કુલ ત્રણ માળનું બાંધકામ થશે. બેઝમેન્ટનો ઉપયોગ સ્ટોર તરીકે થશે, જ્યારે 2 હજાર ચોરસ ફૂટના ગ્રાઉન્ડ ફ્લોર પર જેલ ભજીયા હાઉસ અને બેઠક વ્યવસ્થા હશે. તેની બાજુમાં કેદીઓ દ્વારા બનાવવામાં આવતી બેકરી આઈટમ્સ અને ફર્નિચર જેવી વસ્તુઓ માટે સોવેનિયર શોપ તેમજ પ્રદર્શન હોલ બનશે. પ્રથમ માળે હાઈટેક કિચન સાથે રેસ્ટોરન્ટ બનશે, જ્યાં એકસાથે 70થી વધુ લોકો બેસીને ગાંધી થાળીની લિજ્જત માણી શકશે. બીજા માળે મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેમાં ગાંધીજી અને સરદાર પટેલ સહિતના સેનાનીઓની જેલવાસ સમયની વસ્તુઓ મૂકાશે. બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ હશે. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વકક્ષાનું બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સપનું ગાંધી આશ્રમને પણ વિશ્વકક્ષાનું બનાવવાનું છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે જ ગાંધી આશ્રમ સામે રહેતા અંતેવાસીઓના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવાની અથવા અન્યત્ર ઘર ફાળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગાંધી આશ્રમની મુલાકાતે આવનારા મુલાકાતીઓ ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલથી લઇને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની સાબરમતી જેલવાસ દરમિયાનની રહેણીકરણી તથા તેમણે જેલમાં કરેલી કામગીરી અને તે સમયની વસ્તુઓ નિહાળી શકે, અને તેમના વિશે માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી સુભાષબ્રિજના છેડે આવેલા જૂના જેલ ભજીયા હાઉસના સ્થાને નવા રૂપરંગ સાથે નવું ભજીયાં હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. હાલ ગાંધી આશ્રમનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું હોવાથી અહીં આવનારા લોકો ગાંધીજી અને સરદાર પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓ જેઓ સાબરમતી જેલમાં રહ્યા હતા. તેમની વસ્તુઓ જોઇ શકે તેવો હેતુ છે. આથી ભજીયા હાઉસને પણ પ્રવાસન સર્કિટમાં મૂકવામાં આવશે. મુલાકાતીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓની જેલવાસ દરમિયાનની પ્રવૃત્તિઓ જાણી શકે તે માટે જુન-2024માં જૂનું ભજીયા હાઉસ તોડીને નવું બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત હાલ ત્રણ માળનું હાઈટેક હેરિટેજ બિલ્ડિંગ બની રહ્યું છે. આ અંગે જેલ સુપરિન્ટેન્ડન્ટ ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આરટીઓ સર્કલ પરનું જૂનું ભજીયા હાઉસ તોડીને ત્રણ માળનું નવું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ. ગ્રાઉન્ડ ફ્લોર પર ભજીયા વેચાણ અને સોવેનિયર શોપ હશે, જ્યાં કારપેન્ટરી અને વીવીંગ જેવી જેલની પ્રોડક્ટ્સ મળશે. ફર્સ્ટ ફ્લોર પર રેસ્ટોરન્ટમાં ગાંધી થાળી પીરસવામાં આવશે, જ્યારે બીજા માળે મ્યુઝિયમમાં ગાંધીજીના જીવન સંબંધિત ચરખા, પત્રો અને વાસણો મૂકાશે. વધુમાં તેમણે કહ્યું કે, સાબરમતી જેલ સાથે ગાંધીજીનો અતૂટ સંબંધ છે. આ સંબંધને આગળ વધારવા માટે રાજ્યના જેલોના ડીજી કે.એલ.એન. રાવને વિચાર આવ્યો હતો કે ભજીયાં હાઉસની સાથે એવી વ્યવસ્થા ઊભી કરવી જે યાદગાર બની રહે. અહીં કેદીઓની પ્રોડક્ટ્સના વેચાણ સાથે ગાંધીજીની સાદા જીવનની વિચારધારાને પ્રોત્સાહન અપાશે. ગાંધી આશ્રમ જેવો પ્રેરણા સ્ત્રોત જ્યારે સર્કિટ તરીકે ડેવલપ થશે, ત્યારે મુલાકાતીઓ ગાંધીજીના જીવનનું એક નવું પાસું નિહાળી શકશે. જેલ ભજીયા હાઉસનો ઇતિહાસ 1997માં જેલ સત્તાવાળાએ આરટીઓ સર્કલ પાસે એક જેલ કેદીને જગ્યા ફાળવી હતી જે ફરસાણ બનાવવાનું જાણતો હતો અને પ્રાયોગિક ધોરણે ભજીયાનું વેચાણ શરૂ કર્યું હતું. તે સમયે જેલના ડિરેક્ટર જનરલ વિજય સિંહ ગુમાન હતા. તે જેલની મિલકત પરના એક નાના રૂમમાં શરૂ થયું હતું. આઉટલેટને સારો પ્રતિસાદ મળ્યો અને તેથી ગ્રાહકો માટે ટેબલ અને ખુરશીઓ સાથેનો શેડ બનાવવામાં આવ્યો. દુકાનને સારો પ્રતિસાદ મળવા લાગ્યો, તેથી દુકાનમાં 8-10 વધુ કેદીઓને કામ પર રાખવાનું શરૂ કર્યું. આ જેલના ભજીયાનો ઝાયકો એવો હતો કે ધીરે ધીરે ગુજરાતભરમાં પ્રખ્યાત થઇ ગયા.
અમે બંને બેઠા ને વાતો ચાલુ કરી. વાતો કરતાં કરતાં અચાનક એને શું ભૂત ચડ્યું કે અચાનકથી એણે પોતાની કમરમાં ભરાવેલો છરો કાઢી મને મારવાની ટ્રાય કરી. સદનસીબે બચી ગયો. ફરી બીજી વાર મારવાનો પ્રયત્ન કર્યો. હું ફરી છટકી ગયો, પણ આ વખતે મારી બંને આંગળીઓ વચ્ચે છરી ઘૂસી અને લોહી ચાલુ થયું. છતાં એ હજુ શાંત પડવા તૈયાર જ નહોતો. હવે એક જ રસ્તો હતો, એના હાથમાંથી છરી આંચકી લઉં. મામલો ધીમે ધીમે ગરમાઈ ગયો ને જોતજોતાંમાં તો મારાથી છરો એના જ શરીરમાં ઘૂસી ગયો ને ત્યાં ને ત્યાં… દોસ્તી ઇમ્તિહાન લેતી હૈ, દોસ્તોં કો બંદીવાન બનાતી હૈ શબ્દો છે, મેહોણી વિજયસિંહના… સાબરમતી જેલના કેદીઓ પરની દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘બંદીવાન’ના ગઇકાલના એપિસોડમાં આપણે વાંચી આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓની કહાની. હવે આજે વાત કરીશું બે એવા કેદીઓની, જેઓ આજે એમના મિત્રોના કારણે જેલમાં સજા ભોગવી રહ્યા છે. ‘વ્યવહારે કાગડો કાળો’ એ કહેવત ખરેખર દરેકે સ્વીકારવી જ જોઈએ, નહિતર બે સારા મિત્રોની પણ શું હાલત થાય છે એ વાત આજે જાણીશું, વિજયસિંહ અને મહેબૂબ પાસેથી… *** સાબરમતી જેલનું ફૂડ, કોઈ રેસ્ટોરાંને પણ આંટે એવું!એ પહેલાં આજે પણ ગુજરાતની સૌથી મોટી એવી અમદાવાદની સાબરમતી જેલનું એક ચક્કર મારીએ. આગળના ત્રણ એપિસોડમાં આપણે જેલની રચના, કેદીઓની રહેવાની વ્યવસ્થા અને જેલની અંદર થતાં કામકાજ તથા જેલની પેમેન્ટ સિસ્ટમ વિશે સમજ્યા. આજે વાત કરીશું જેલના ભોજનની અને કેદીઓની મુલાકાત સિસ્ટમની. જેલનું જમવાનું હંમેશાં વગોવાયેલું છે. આપણે ફિલ્મોમાં અને વાતોથી એટલું ખરાબ અનુમાન લગાવી લીધું છે કે, કોઈ રોટલી ન તૂટે તો પણ એવું કહીએ છીએ કે, ‘આના કરતાં તો જેલની રોટલી સારી હોય.’ પરંતુ જ્યારે અમે જેલની અંદર જઇને ખરેખર જોયું ત્યારે થયું કે, સાબરમતી જેલ ફક્ત ‘જેલનાં ભજીયાં’ જ કેમ વેચે છે? રેસ્ટોરાં કેમ ઓપન નથી કરતાં!? સવારમાં રોજ સાતેસાત દિવસ અલગ અલગ નાસ્તો, બપોરે શાક-રોટલી સાથે દાળ-ભાત, એમાં ય સાથે ફાસ્ટફૂડ જેવી આઈટમ પણ હાજર. અને તમામ વાનગીઓની ચોખ્ખાઈ અને સ્વાદમાં કોઈ બાંધછોડ નહીં. કેદીઓ માટે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને સાથે મંચુરિયન, સમોસાની જ્યાફતબટ એક્ચ્યુલી, બધું ફ્રી નહીં હોં! સવારે બ્રેકફાસ્ટમાં બટાકા પૌવા, ઉપમા જેવો પૌષ્ટિક નાસ્તો ને સાથે ચા. બપોરે જમવામાં રોજે અલગ અલગ શાક-રોટલી, દાળ-ભાત અને સાંજે પણ રોજ અલગ અલગ પેટ માગે એવી વાનગીઓ. બટ હવે આમાં પૈસા ક્યાં આવ્યા? તો આ બધું કાઉન્ટર ઉપર ફ્રી જમવાનું, પણ આ સિવાય સાથે હોય એક મીઠાઇ અને મંચુરિયન, સમોસા જેવી ચટાકેદાર વાનગીઓ; જો એ વાનગીઓ કેદીઓએ જમવા સાથે ખાવી હોય તો એના પૈસા આપવાના. પરંતુ એ પૈસા જેલમાં રહીને, કામ કરીને કમાયેલા હોય તેમાંથી જ ચૂકવવાના. અને એ પૈસા વાપરવામાં પણ ધ્યાન રાખવું પડે. કેમ કે, મહિનાની ચાર-પાંચ હજાર રૂપિયાની કમાણીમાંથી કેદીઓએ આખો મહિનો સર્વાઇવ પણ કરવાનો છે. જમવાની સાથે તેલ, સાબુ, શેમ્પૂ જેવી આઈટેમ પણ આમાંથી જ ખરીદવાની. કૂપનઃ જેલની પેરેલલ કરન્સીપણ એ પૈસામાંથી કશું બચે તો? જો એ કમાણીમાંથી કેદીઓ પૈસા બચાવે તો જ્યારે પેરોલ પર બહાર જાય ત્યારે અથવા તો જેલમાંથી મુક્તિ મળે ત્યારે રૂપિયામાં કન્વર્ટ કરી લઈ જઈ શકે. દર મહિને જ્યારે જ્યારે ઉપાડ મળે ત્યારે કેદીઓએ કહેવાનું કે એમને કેટલા રૂપિયા જોઈએ છે, જો ચાર હજારનાં કૂપન લઈ લીધા તો વાત પૂરી. એક વાર કૂપન મળ્યા પછી એના રૂપિયા કન્વર્ટ ન થાય, અને એ કૂપન બીજા મહિને યુઝ પણ ન થાય. પરંતુ જો ચારમાંથી 3 હજારનાં કૂપન લે અને એક હજાર જમા રખાવે, તો એ જમા રહેલા પૈસા બહાર જાય ત્યારે રૂપિયા તરીકે મળી શકે. પરિવાર સાથે રૂબરૂ મુલાકાત, વીડિયો કૉલથી પણ વાત થાયહવે વાત કરીએ મુલાકાત સિસ્ટમની. આજીવન કેદ અને લાંબાં વર્ષોની સજા ભોગવી રહેલા કેદીઓને પોતાના પરિવાર સાથે દર અઠવાડિયે મુલાકાતની છૂટ. બડા ચક્કર અને છોટા ચક્કરના કેદીઓ જેલના જ મુલાકાત રૂમમાં પોતાના પરિવારને મળી શકે. પરંતુ જે કેદીઓનો પરિવાર અમદાવાદથી દૂર હોય અને દર અઠવાડિયે આવી શકે એમ ન હોય તો એમના માટે હવે જમાના પ્રમાણે વીડિયો કૉલની પણ સુવિધા આવી ગઈ છે. કેદી જેલના કમ્પ્યૂટરથી વીડિયો કોલ કરી ઘરે વાત કરી શકે. પ્લસ, અઠવાડિયામાં ત્રણ વાર કેદી મોબાઈલ ફોન (ઓડિયો કૉલ) પર પોતાના પરિવાર સાથે વાત કરી શકે. ઇન શોર્ટ, તમે હવે સાબરમતી જેલને ઓલમોસ્ટ સમજી ગયા છો. હજુ જેલમાં કેદીઓને મળતી અફલાતૂન સુવિધાઓ વિશે જાણવાનું બાકી છે, જે હવે કાલના પાંચમા અને છેલ્લા એપિસોડમાં જોઈશું. આજે હવે કેદીઓ સાથે મુલાકાત કરીએ. *** ‘આ ભાઇને તો ક્યાંક જોયેલા છે!’ચહેરા પર સ્મિત સાથે રૂમમાં પ્રવેશ્યો વિજય. અમારી સામે બેસતાંવેંત કહ્યું, ‘કેમ છો?’ વિજયના અવાજ પરથી તે એકદમ રિલેક્સ્ડ લાગતો હતો. અમે સસ્મિત પ્રત્યુત્તર આપ્યો, ‘એકદમ મજામાં, ભાઈ.’ચહેરા પર વધુ પહોળા સ્માઇલ સાથે વિજય કહે, ‘બોલો બોલો સાહેબ, શું પૂછવું છે?’ બે સેકન્ડ વિચારતાં અમને લાગ્યું કે, આમને તો ક્યાંક જોયેલા છે. અને જોયેલા જ હતા, કેમ કે વિજયસિંહની ડ્યૂટી સાબરમતી જેલની અંદર જેલ સુપ્રિન્ટેન્ડન્ટ IPS ગૌરવ અગ્રવાલની ઓફિસ પાસે જ. કમ્પ્યૂટર શીખેલો વિજય અહીં વહીવટી કામમાં મદદ કરે છે. ઇસ્ત્રી કરેલો સફેદ કુરતો-પાયજામો, માથે પીળી ટોપી, દેખાવે શાંત, એજ્યુકેટેડ પર્સનાલિટી, ખુશમિજાજ વિજયસિંહ સાથે અમે વાત માંડી. 33 વર્ષનો વિજય મહેસાણાના વીજાપુર પાસેના એક ગામનો રહેવાસી. ઘરે પિતા ડ્રાઇવિંગનું કામ કરે. વિજય, ફાયનાન્સની એક કંપનીમાં કામ કરી વાઈફ અને બે દીકરીઓને સાચવે. મોટી દીકરી નવ વર્ષની ને નાની સાત વર્ષની! જો કે છેલ્લાં સાતેક વર્ષથી વિજયનું ફેમિલી ગાંધીનગર શિફ્ટ થઈ ગયું છે, પણ ગુનાનું સ્થળ મહેસાણાનું એ ગામ જ. વાત છે, આજથી 7 વર્ષ પહેલાંની! લોન પે લોન પે લોનશું થયું હતું એ દિવસે? વિજયે વાતની શરૂઆત કરી, ‘ગામમાં મારો એક ખાસ ક્ષત્રિય મિત્ર. અમે બંને ભાઈઓની જેમ જ રહેતા. એનો પરિવાર એ મારો પરિવાર, એવો જિગરી. માણસ અને મિત્ર બહુ સારો, પણ પૈસાની ખેંચમાં આવી જતાં એને લોન લેવાની જરૂર પડી. હું ફાઇનાન્સ કંપનીમાં જોબ કરું એટલે મારા કોન્ટેક્ટથી મેં જ એને બે લોન પણ અપાવી. પણ એટલેથી એનું ન વળ્યું ને વધુ પૈસાની જરૂર પડી. એકાદ વર્ષ થયું ત્યાં ફરી વધુ પૈસાની જરૂર પડી. આ વખતે અમે એક નેશનલ બેન્કમાં એની લોન માટે એપ્લાય કર્યું. પણ ભાઈનો સિબિલ (CIBIL) સ્કોર ઘણો ઓછો, એટલે આ વખતે લોન ન મળી.’ ‘તારે લીધે જ મને લોન નથી મળતી’વિજયે વાત ચાલુ રાખી, ‘હવે એ વાતનો ગુસ્સો એને મારા પર આવ્યો. એને થયું કે, હું જ લોન નથી કરાવવા માગતો. જે વાતમાં રત્તીભરનું સત્ય નહોતું. પણ એના મનમાં વહેમ ઘૂસી ગયો. મારી સાથે થોડું વર્તન બગડ્યું. મેં એને ઘણું માનવવાની પણ ટ્રાય કરી, પણ એ ન માન્યો. એમાં એક દિવસ સાંજે એનો મને ફોન આવ્યો કે, નવરો હોય તો આવ બેસવા. મને તો હાશકારો થયો કે, ચલો ભાઈ માની ગયો. એકવાર મળીને બધી વાત ક્લિયર કરી દઈએ. મેં કહ્યું કે, કોઈ વાંધો નહીં, નોકરીએથી ઘરે આવું એટલે સાંજે મળીએ. હું મળવા ગયો.’ ‘એણે કમરમાં ભરાવેલો છરો કાઢ્યો’રાતનો 8:30 વાગ્યાનો સમય ‘અમે બંને બેઠા ને વાતો ચાલુ કરી. થોડી વાર ફેમિલીની તો, થોડી નોકરી-ધંધાની. વાતો કરતાં કરતાં એને ખબર નહીં શું ભૂત ચડ્યું, અચાનકથી ટૉપિક બદલી લોન પર લઈ આવ્યો કે, તું જ નથી ઈચ્છતો કે મારી લોન પાસ થાય. મેં સમજાવવા પ્રયત્ન કર્યો, પણ વાત શાંત પડવાને બદલે આગળ વધતી જતી હતી. મામલો ગરમ થતો ગયો ને ધીમે ધીમે એ મને મારવા પર આવી ગયો. મેં ઘણો સમજાવવા પ્રયત્ન કર્યો, ઘણો શાંત પાડવાની ટ્રાય કરી, પણ ભાઈ કોઈ રીતે ઠંડો થતો જ નહોતો. એમાં હાથાપાઈ થતાં થતાં અચાનકથી એણે કમરમાં ભરાવેલો છરો કાઢ્યો.’ ‘મારાથી એને છરો વાગી ગયો ને…’હેં? પછી શું થયું? વિજય કહે, ‘છરો કાઢી એણે મને મારવાની ટ્રાય કરી. હું સચેત હતો તો સદનસીબે બચી ગયો. ફરી બીજી વાર મારવાનો પ્રયત્ન કર્યો. હું ફરી છટકી ગયો, પણ આ વખતે મારી બંને આંગળીઓ વચ્ચે છરી ઘૂસી અને લોહી ચાલુ થયું. છતાં એ ભાઈ હજુ શાંત પડવા તૈયાર જ નહોતો. હવે એક જ રસ્તો હતો, એના હાથમાંથી છરી આંચકી લઉં. મામલો ધીમે ધીમે ગરમાઈ ગયો ને જોતજોતાંમાં તો મારાથી છરી એને જ વાગી ગઈ. પણ…’ ‘હા, મેં જ આ મર્ડર કર્યું છે’પણ શું? ઊંડી વાગી? વિજય કહે, ‘હા, સેલ્ફ ડિફેન્સમાં મારાથી છરી એના ફેફસાંમાં ઘૂસી ગઈ ને ત્યાં ને ત્યાં લોહીની નદી ચાલુ થઈ. ઘટના સ્થળ પર જ મારા ભાઈ જેવા ભાઈબંધનો જીવ જતો રહ્યો. પછી તો મેં જ અમારા વિસ્તારના PI (પોલીસ ઇન્સ્પેક્ટર)ને ફોન કર્યો કે સાહેબ આવું થઈ ગયું છે. હું અહી જ છું, તમે આવી જાઓ. પોલીસે આવી ત્રણ જણા ઉપર FIR કરી; હું, મારા પપ્પા ને મારો ભાઈ. પછી જ્યારે જ્યુડિશિયલ કોર્ટમાં કેસ ચાલ્યો તો, મેં જ સામેથી કહી દીધું કે, હું કબૂલું છું કે આ મર્ડર મારાથી થયું છે, મારા પપ્પા અને ભાઈ નિર્દોષ છે. બસ, પછી તો થોડો ટાઈમ ત્યાંની જેલમાં રહ્યો. બાદમાં ત્રણ વર્ષ મહેસાણા ડિસ્ટ્રિક્ટ જેલમાં અને હવે અત્યારે સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવું છું.’ ‘પેરોલ પર ઘરે ગયો, ને એમાં દીકરાનો જન્મ થયો’પરિવાર અહીં મળવા આવે છે? વિજય કહે, ‘હા, પહેલાં દર અઠવાડિયે મળવા આવતા, પણ હવે એમને ધક્કા નથી ખવડાવતો, ના પાડુ છું. હવે જો કે એક દીકરો પણ છે નાનો, એટલે બધાએ ક્યાં આવવું?’‘પણ તમારે તો બે દીકરીઓ જ હતી ને? મારે સાંભળવામાં ભૂલ થઈ?’ અમે પૂછ્યું;‘ના ના, હું બહાર હતો ત્યારે બે જ દીકરીઓ હતી, પણ પછી આજીવન કેદના કેદીઓને પેરોલ રજા મળે, એમાં જ્યારે બહાર ગયો હતો ત્યારે મારા ઘરે દીકરાનો જન્મ થયો ને હવે ઘરે ત્રણ ભૂલકાંઓ છે.’ દીકરાની વાત કરતાં જ વિજય એકદમ ખુશખુશાલ થઈ ગયો. ‘એક ક્ષણના ઉશ્કેરાટમાં બે પરિવારે એમના દીકરા ખોયા’મર્ડર થઈ ગયા પછી મગજમાં શું ચાલતું હતું? વિજય કહે, ‘કશું જ નહીં. કોઈ ઇરાદો જ નહોતો. મર્ડર થઈ ગયા પછી તો મને પણ પસ્તાવો થયો અને ત્યાં જ દુઃખી થઈને બેઠો હતો. મારી નજર સામે મારા ભાઈ જેવા ભાઈબંધના શરીરમાંથી લોહીની નદી વહેતી હતી ને એનો જીવ ગયો હતો. પણ અમે બંને ક્ષત્રિય, એટલે વાતોવાતોમાંથી ઉશ્કેરાટમાં આ પગલું ભરાઈ ગયું. હજુ પણ બહુ જ પસ્તાવો થાય છે, કેમ કે એનો પરિવાર પણ મારા પરિવાર જેવો હતો. એ બે મિનિટના ઝઘડામાં બંનેના પરિવાર વિખેરાઈ ગયા. બંને પરિવારે દીકરાઓ ખોયા, એનો જીવ ગયો ને હું આજીવન જેલમાં પડ્યો.’ ‘એવું લાગે છે કે, એ ટાઈમે ક્રાઇમ થતાં અટકી શક્યો હોત?’‘શક્ય જ નહોતું ને, પ્લાનિંગ હોય તો કશુંક રોકી શકીએ. આ તો એક જ મિનિટમાં છરી ભોંકાઈ ગઈ ને તાત્કાલિક જ ઘટનાસ્થળે એનો જીવ જતો રહ્યો.’‘પાછળથી પસ્તાવો થાય એના કરતાં ગુસ્સા પર કંટ્રોલ રાખો’એમનો પરિવાર કે ગામના લોકો શું કહે છે? વિજય કહે, ‘કશું જ નહીં. કોઈ કશું નથી કહેતું, મારી છાપ બહુ જ સારી હતી. એનો પરિવાર પણ મારા પરિવાર જેવો હતો. એ લોકો મને પણ દીકરો જ માને છે અને સમજે છે કે ત્યારે શું થયું હતું. રહી વાત મારી તો, મારા દાદા પણ PI હતા, મેં B.A. કોલેજ પણ કરેલી છે અને સારી એવી જોબ કરતો હતો. પણ આ બધુ એક્સિડેન્ટલ હતું. હવે તો બસ એક જ આશા છે કે, જલ્દી બહાર નીકળીશ અને જોબ કરી મારો પરિવાર સાચવી લઇશ.’ વિજય આગળ કહે, ‘હું તો લોકોને પણ એ જ સંદેશો આપું છું કે, બને ત્યાં સુધી ઝઘડાથી દૂર રહો, કેમ કે આવેશમાં ભરાયેલા પગલાંથી તમારો પરિવાર અને જીવન બંને વિખેરાઈ જશે. પાછળથી પસ્તાવો થાય એના કરતાં ગુસ્સા પર કંટ્રોલ કરવો વધુ સારો.’ *** ફક્ત એક મિનિટનો ગુસ્સો અને જીવન વેરવિખેરજેલમાં પણ સ્ટાફ અને તમામ લોકો સાથે વિજયસિંહને એકદમ સારાસારી. દરેક આવતા-જતા લોકો વિજયને પ્રેમથી મળતા જાય અને બોલાવતા જાય. અમારી ચાલુ વાતચીતે પણ બે જણા વિજયને ફાઈલો માટે કશુંક પૂછવા આવ્યા હતા. ક્લાર્ક ઓફિસમાં કામ કરતા વિજયની શિસ્ત જોઈને ફરી એકવાર વિચાર આવે કે, ફક્ત એક મિનિટનો ગુસ્સો અને મિત્રતામાં પૈસા વચ્ચે આવતાં વ્યક્તિનું જીવન કેટલું વિખેરાઈ જાય છે. આજના બીજા કેદીનું પણ કશુંક એવું જ છે. ચહેરા પર એ જ સ્મિત સાથે વિજયસિંહ ઊભો થયો ને રૂમની બહાર નીકળી ફરી કામ પર લાગી ગયો. વિજયનું લખાણ હું પૂરું કરતો જ હતો ત્યાં પાછળથી ઘેઘૂર અવાજ આવ્યો, ‘મને બોલાવ્યો?’ સાડા છ ફૂટના મહેબૂબના ચહેરા પર ક્યારેય સ્માઇલ ન આવેઅંદાજે 6.5 ફૂટ જેટલી પહાડી હાઇટમાં સફેદ કુરતાવાળા કેદીએ એન્ટ્રી લીધી. ભરાવદાર શરીર, શ્યામ ચહેરો ને લાંબી દાઢી, હડપચી અને હોઠ વચ્ચે દાઢીનો થોડો શેપ ને ભરાવદાર અવાજ. ચહેરો હંમેશાં ગુસ્સામાં હોય એવો ને એવો. વચ્ચે ક્યારેક ક્યારેક થોડું હસે તો પણ માઇક્રો સેકન્ડમાં ફેક સ્માઇલ આપી ફરી જેમનો તેમ ગુસ્સૈલ ચહેરો કરી દે. નામ? મહેબૂબ! મહેબૂબ રૂમમાં આવ્યો, ટેબલ પર બેઠો ને અમે વાત ચાલુ કરી. દોસ્તી વચ્ચે છ લાખ રૂપિયા આવ્યા31 વર્ષનો મહેબૂબ મહેસાણાના ખેરાલુનો રહેવાસી. બે પરિણીત ભાઈઓ અલગ રહે ને બહેન પણ સાસરે, એટલે ફક્ત આઠ ધોરણ ભણેલો મહેબૂબ ઈંટોનો ધંધો કરે ને બાકી મજૂરી કરી મમ્મી-પપ્પાને સાચવે. મહેબૂબે વાતની શરૂઆત કરી, ‘આજથી દસ વર્ષ પહેલાંની વાત છે. મારા ગામના જ એક મિત્ર સાથે મને ભાઈબંધી ભારે પડી. કટકે કટકે કરી એ મારી પાસેથી 6 લાખ ઉછીના લઈ ગયો. છતાં હજુ એના તરફથી પૈસા માગવાનું ચાલુ ને ચાલુ જ હતું. એને વધુ પૈસાની જરૂર પડી તો પાછા મારી પાસેથી વધુ પૈસા માગ્યા. એ લાખોના દેવામાં ડૂબતો હતો એટલે 6 લાખ રૂપિયા પાછા આપવાનું તો દૂર, ઉપરથી બીજા 2 લાખ માગ્યા.’ ‘મારા હાથમાં ડિસમિસ આવી ગયું, ને મેં એના ગળામાં મારી દીધું’મહેબૂબે વાત ચાલુ રાખી, ‘ઉપરથી એ મારી પાસેથી ઘણો ઈંટોનો માલ લઈ ગયો હતો, ને હજુ બીજા 8 લાખનો માલ જોઈતો હતો. મારી પાસે પડ્યો પણ હતો, પરંતુ જૂના પૈસા ન મળે ત્યાં સુધી નવો માલ કેમ આપવો? છતાં એ મને બોલાવ બોલાવ કરતો હતો તો હું એને મળવા ગયો. અમે મળ્યા વાતચીત કરતાં જ હતા ત્યાં એ લાલચુ વધારે ઉશ્કેરાઈ ગયો ને એની નિયત બગડી. એ મને મારવા દોડ્યો. મારી ઉપર ચડી ગયો ને હાથાપાઇ ચાલુ થઈ. રાતના અંધારામાં થોડી વાર તો હું પણ હેબતાઈ ગયો કે શું થઈ રહ્યું છે મારી સાથે. પણ એ મને મારવા જ તૂટી પડ્યો હતો. એમાં હાથાપાઇમાં મારા હાથમાં ક્યાંકથી ડિસમિસ (સ્ક્રૂ ડ્રાઇવર) આવી ગયું. મેં શું છે એ જોયા વિના જ સેલ્ફ ડિફેન્સમાં એની સામે મારી દીધું. પણ એ ક્ષણે આવેશમાં ભૂલ થઈ ગઈ. એ ડિસમિસ એના ગળામાં ઘૂસી ગયું.’ ‘હું સામેથી જ પોલીસની ગાડીમાં બેસી ગયો’પછી તમે શું કર્યું? મહેબૂબ કહે, ‘મારાથી તો અજાણતા થઈ ગયું હતું. હું તો ટેન્શનમાં આવી ગયો ને, ગભરાઈને ઘરે ભાગ્યો. ઘરે આવીને કોઈને કશી વાત કર્યા વિના શાંતિથી ગુમસુમ બેસી ગયો. ત્યાં થોડી વારમાં પોલીસ મારા ઘરે આવી. કારણ તો મને ખબર જ હતી. પોલીસ હજુ કશું કહે એ પહેલાં જ હું સામેથી ગાડીમાં બેસી ગયો ને સરેન્ડર કરી લીધું. પછી તો કોર્ટમાં કેસ ચાલ્યો ને આજીવન કેદની સજા થઈ.’ શું કરો છો તમે અહીં જેલમાં?મહેબૂબ કહે, ‘અહીં આવી પહેલાં તો વણાટકામ શીખ્યો હતો, પણ એ પછી દરજી કામ શીખી અત્યારે દરજીકામ કરું છું. સાથે સાથે શોખથી કમ્પ્યૂટર પણ શીખ્યો છું.’‘મારો પરિવાર હેરાન થઇ ગયો એનું દુઃખ છે’પસ્તાવો થાય છે ત્યારે? મહેબૂબ એક બાજુના નાકનું નસકોરું ઉપર ખેંચી કહે, ‘જેલમાં હોવાના કારણે ઘરે જ્યારે ઇમરજન્સી કામ હોય તો એ અટકે એ અફસોસ છે, બાકી કોઈ પસ્તાવો નથી! હું અહીં હોઉં ત્યારે ઘરે કોઈ બીમાર પડે કે કોઈ મુશ્કેલી આવે ને છતાં અમે જઈ ન શકીએ એનું દુઃખ થાય. અમે પાટણના રાંદેરમાં રહેતા ત્યારે આ બનાવ બન્યો હતો, પણ આખું ગામ પટેલોનું, એટલે ત્યાં અમારું રહેવું મુશ્કેલ ન બને એટલે મારો પરિવાર ફરી અમારા મૂળ ગામ ખેરાલુ શિફ્ટ થઈ ગયો. હું તો જેલમાં આવતાં આવ્યો, પણ મારો પરિવાર હેરાન થઈ ગયો એનું ભારે દુઃખ છે. હવે ખબર નહીં ક્યારે બહાર નીકળવા મળે, પણ બહાર જઈ હવે મારા પરિવારને સાચવી લઉં એટલે ઘણું ઘણું! (નોંધઃ આ સ્ટોરીમાં કેદીઓ વિેશે જે પણ વાત કહેવામાં આવી છે, એ કેદીઓએ એમના મુખેથી સ્ટોરી લખનારને કહેલી છે. કેદીઓની ગુપ્તતા જાળવવાના હેતુથી દરેક કેદીનાં નામ બદલાવેલાં છે.)
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પ્રયાગરાજમાં વાયુસેનાના વિમાનના ક્રેશના હતા. બીજા મોટા સમાચાર સોના અને ચાંદીના ભાવના તમામ રેકોર્ડ તોડી નાખવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે અનામતની લોટરી કાઢવામાં આવશે. 2. મધ્યપ્રદેશમાં ભોજશાળા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ હિંદુ પક્ષ તરફથી દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. પ્રયાગરાજમાં એરફોર્સનું પ્લેન ક્રેશ, VIDEO:શહેરની વચ્ચોવચ હવામાં બેલેન્સ બગડ્યું, તળાવમાં જઈને પડ્યું; સ્થાનિકોએ 2 પાઇલટને બચાવ્યા પ્રયાગરાજમાં એરફોર્સનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. એરક્રાફ્ટ હવામાં ઊડતાં-ઊડતાં ડગમગાયું અને તળાવમાં ખાબક્યું હતું. 2 સીટર એરક્રાફ્ટમાં સવાર બંને પાઇલટ સુરક્ષિત છે. અકસ્માત બુધવારે બપોરે અંદાજે 12:20 વાગ્યે કેપી કોલેજની પાછળ થયો હતો. આ શહેરની મધ્યમાં આવેલો વિસ્તાર છે. તળાવની પાસે સ્કૂલ અને રહેણાક સોસાયટીઓ છે. અહીંથી માઘ મેળાનું અંતર 3 કિમી છે. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ ક્રેશ થતાં પહેલાં બંને પાઇલટ પેરાશૂટથી કૂદી ગયા હતા અને તળાવમાં પડ્યા હતા. ત્યાં તેઓ કાદવમાં ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પનું એલાન- ગ્રીનલેન્ડ લઈશું, પણ બળપ્રયોગ નહીં કરું:અમેરિકા સિવાય કોઈ તેનું રક્ષણ નહીં કરી શકે, રાષ્ટ્રીય સુરક્ષા માટે અમને તેની જરૂર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં પોતાનું ભાષણ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે યુરોપ ખોટી દિશામાં આગળ વધી રહ્યું છે. ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોમાં ગ્રીનલેન્ડને કબજે કરવાનો વારંવાર દાવો કર્યો છે. આ જ કારણ છે કે વિશ્વ દાવોસમાં ટ્રમ્પની હાજરી અને તેમના દરેક નિવેદન પર નજીકથી નજર રાખી રહ્યું છે. WEFમાં તેમના ભાષણ પછી, ટ્રમ્પ એક ખાસ ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમનું પણ આયોજન કરશે. આ કાર્યક્રમમાં સાત અગ્રણી ભારતીય ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. અવિમુક્તેશ્વરાનંદની ચેતવણી- નોટિસ પાછી ખેંચો:પ્રયાગરાજ તંત્રએ પૂછ્યું હતું, 24 કલાકમાં જણાવો કે તમે પોતાને શંકરાચાર્ય કેવી રીતે ઘોષિત કર્યા પ્રયાગરાજમાં મૌની અમાસ પર સ્નાનને લઈને પ્રશાસન અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે શંકરાચાર્યના પદ સુધી પહોંચી ગયો છે. અવિમુક્તેશ્વરાનંદે 24 કલાકમાં મેળા પ્રશાસનને 8 પાનાંનો જવાબ ઈ-મેલથી મોકલ્યો છે. નોટિસને મનસ્વી, દૂષિત અને ગેરબંધારણીય ગણાવી. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એવો કોઈ આદેશ આપ્યો નથી, જેનાથી અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય પદ પર રહેવાથી રોકવામાં આવ્યા હોય. મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે, તેથી કોઈપણ ત્રીજા પક્ષને ટિપ્પણી કરવાનો કે રોક લગાવવાનો અધિકાર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સોનું પહેલીવાર ₹1.5 લાખ પાર, ₹7795 વધ્યું:21 દિવસમાં 22 હજાર મોંઘું થયું; ચાંદી 10 હજાર વધીને ₹3.20 લાખ પર પહોંચી સોનાની કિંમત આજે એટલે કે 21 જાન્યુઆરીએ 1.50 લાખ રૂપિયાને પાર કરી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, સોનું આજે 7,795 રૂપિયા વધીને 1,55,204 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે. ગઈકાલે તે 1,47,409 રૂપિયા પર હતું. સોનું આ વર્ષે અત્યાર સુધીમાં 21,744 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. જ્યારે 1 કિલો ચાંદીની કિંમત આજે 10,730 રૂપિયા વધીને 3,20,075 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે તે 3,09,345 રૂપિયા પર હતી. ચાંદી આ વર્ષે માત્ર 21 દિવસમાં જ 90,825 રૂપિયા મોંઘી થઈ ચૂકી છે. સોના-ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે તેમની સર્વોચ્ચ સપાટી પર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ICCએ બાંગ્લાદેશને 'ક્લિન બોલ્ડ' કરી નાખ્યું:વર્લ્ડ કપ ભારતમાં જ રમવો પડશે, એક દિવસમાં ફાઇનલ જવાબ માગ્યો; નહીં માને તો સ્કોટલેન્ડને મળશે તક ICCની બેઠકમાં 14 દેશોએ બાંગ્લાદેશ વિરુદ્ધ મતદાન કર્યું. જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય, તો સ્કોટલેન્ડને તક આપવામાં આવશે. હાલમાં, ICCએ BCBને તેના વલણ પર વિચાર કરવા માટે વધુ એક દિવસનો સમય આપ્યો છે. Cricinfo અનુસાર, ICCની બેઠકમાં 16માંથી 14 દેશોએ BCB ની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ફક્ત પાકિસ્તાને તેમને ટેકો આપ્યો હતો. જોકે, બાંગ્લાદેશ ICC ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં તે અંગે હવે 22 જાન્યુઆરીએ નિર્ણય લેવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. આનંદીબેનનાં દીકરી હવે ખોડલધામનાં સર્વેસર્વા:નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી આખું સંગઠન સોંપ્યું, અનાર પટેલે કહ્યું-ટિકિટ માટે મારે આમ તેમ જવાની જરૂર નથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેનનાં દીકરી અનાર પટેલ હવે ખોડલધામનાં સર્વેસર્વા થઈ ગયા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી અનાર પટેલને આખું સંગઠન સોંપી દીધુ છે. હવે અનાર પટેલ ગામે ગામે જઈ ખોડલધામને મજબૂત કરશે અને ખોડલધામ સંગઠનને ઘર-ઘર સુધી પહોચાડશે. ઉલ્લેખનીય છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતના બદલાતા રાજકીય અને સામાજિક સમીકરણોએ પાટીદાર સમાજની સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચાવી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અંતે માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર:બગદાણાના નવનીત બાલધિયા હુમલા કેસમાં પૂછપરછ શરૂ, નવાજૂનીના એંધાણ બગદાણા કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં અંતે લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર SIT સમક્ષ હાજર થયા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. બે દિવસ પહેલાં SIT સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાએ હુમલા કેસને લઈ SITને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા કેસ સાથે સંકળાયેલા પોલીસ ઈન્સ્પેક્ટરો અને ભોગ બનનાર નવનીત બાલધિયાનું નિવેદન લીધા બાદ જયરાજ આહીરને હાજર થવા સમન્સ પાઠવવામાં આવતા તે હાજર થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : NASAમાંથી સુનીતા વિલિયમ્સ રિટાયર થઈ:અંતરીક્ષમાં 600 દિવસથી વધુ સમય વિતાવ્યો; કહ્યું- ચંદ્ર પર જવા માગું છું, પણ પતિ મને મારી નાખશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : વિશ્વભરમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઊડ્યા:રક્ષામંત્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું એ 'પિત્ઝા હટ' જ નકલી નીકળ્યું, સોશિયલ મીડિયા પર ઊડી મજાક વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : શ્રીનગરમાં વાયુ પ્રદૂષણ 7 વર્ષમાં સૌથી ખરાબ:શ્વાસ લેવો 4 સિગારેટ પીવા બરાબર, દિલ્હીમાં પણ AQI 390ના ખતરનાક સ્તરે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ભારત-પાકિસ્તાન સહિત 10 મહિનામાં 8 યુદ્ધ અટકાવ્યા:ટ્રમ્પે કહ્યું- દુનિયાને ન્યુક્લિયર યુદ્ધથી બચાવ્યા, મને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈતો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રોકાણકારોના 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા!: સેન્સેક્સ 270 પોઈન્ટ ઘટીને 81,909ના સ્તરે બંધ, નિફ્ટી પણ 75 પોઈન્ટ ઘટ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : કોહલી એક અઠવાડિયામાં વન-ડે રેન્કિંગમાં નંબર-1 પરથી હટ્યો:ડેરીલ મિચેલે પાછળ છોડ્યો, ટૉપ-10માં 4 ભારતીય બેટર્સ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 23 જાન્યુઆરીએ વસંત પંચમી:માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, જ્ઞાન અને કલાનું મળશે વરદાન વાંચો સંપૂર્ણ સમાચાર અજબ ગજબ પત્ની-ફૈબાએ સ્મશાનમાંથી અસ્થિઓ ચોરી છત્તીસગઢના બિલાસપુરમાં એક વ્યક્તિની પત્ની અને બહેને સ્મશાનમાંથી તેની અસ્થિઓ ચોરી લીધી છે. મૃતક આલોક ઠાકરના બાળકોનો આરોપ છે કે તેમની માતા અને ફૈબા સંપત્તિ હડપવા માગે છે, તેથી અંતિમ સંસ્કારમાં અડચણ ઊભી કરી રહી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 80 દેશોમાં મિલિટરી બેઝ, દુનિયાના 88% પેમેન્ટ ડોલરમાં; દુનિયા પર અમેરિકાની 'દાદાગીરી' કેમ ચાલે છે, શું બધું બદલાવાનું છે? 2. Editor's View: ટ્રમ્પને 440 વોટનો ઝટકો:ટેરિફની ધમકી સામે યુરોપનું ઈન્ડિયા કાર્ડ, મધર ઓફ ડીલથી ભારતનાં ભાગ્યનાં દ્વાર ખુલશે, ગુજરાતને સૌથી મોટો ફાયદો 3. બંદીવાન-3 : ‘ગુજરાતનો ટોપર પોક્સોના કેસમાં ફસાઈ ગયો’: સાબરમતીના બે શિક્ષિત કેદીની કરમકથની, ‘આર્મીમાં હતો, પરિવારમાં મર્ડર થયું ને મને આજીવન કેદ થઈ’ 4. સમલૈંગિક સંબંધનો ભાંડો ફૂટતાં જ પાર્ટનરની કુહાડી મારી હત્યા કરી: વાડીમાં ખાડો ખોદી મીઠું નાખીને લાશ દાટી દીધી, પોલીસને ગેરમાર્ગે દોરવા બાઇક નર્મદા કેનાલ પાસે મૂકી આવ્યો 5. ભાસ્કર એક્સક્લૂસિવ : 'શું બ્રાહ્મણો પર કર્ફ્યૂ લાગ્યો છે, ફરી મિટિંગ થશે': અધિકારીઓ સાંભળતા નથી, શું અમે અછૂત; યુપીમાં બ્રાહ્મણ ધારાસભ્યોની મિટિંગથી કોણ પરેશાન? 6. એક્સક્લૂસિવ : 5,000 કિમી દૂર ફસાયેલી માતાની યાદમાં દીકરીની રોકકળ: દરવાજે ઊભી ઊભી એક જ શબ્દ, 'મમ્મીની ખૂબ યાદ આવે છે, અમારો ખર્ચો કાઢવા દાગીના ગીરવી મૂકી બેલારુસ ગઈ' 7. ગ્રાઉન્ડ રિપોર્ટ : હિન્દુ મતદારો માટે વિકાસ, મુસ્લિમ માટે ઘૂસણખોરી-હિન્દુત્વ: માલદા-સિંગુરમાં મોદીનું 59 બેઠક પર નિશાન, શું સિંગુર પરત આવી શકશે ટાટાની ફેક્ટરી? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન અને કુંભ રાશિના જાતકોના કાર્યો સમયસર પૂરા થશે, વૃશ્ચિક જાતકોએ નાણાકીય લેવડ-દેવડ ટાળવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)
તમે તમારી કારકિર્દી શરુ થવા પહેલાં જ બરબાદ કરી નાખી ઃ કોર્ટ
પ્રોફેસર સાંઈબાબા પુણ્યતિથિના કાર્યક્રમ બાબતે 'ટીસ'ના વિદ્યાર્થીઓ સામે કેસ ક્રિમીનલ કેસને લીધે તમને ક્યાંય સરકારી નોકરી નહીં મળે અને ખાનગી નોકરીમાં પણ પેન્ડિંગ ફોજદારી કેસનો ખુલાસો આપવો પડશે ઃ કોર્ટ મુંબઈ - દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર જી.એન.સાંઈબાબાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા બદ્દલ ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સેસ (ટીસ)ના નવ વિદ્યાર્થીઓને સોમવારે સેશન્સ કોર્ટના ન્યાયાધીશે ઠપકો આપ્યો હતો. તેમજ ચેતવણી આપી હતી કે, તેમની સામેનો કેસ તેમની ભાવિ કારકિર્દીને પ્રતિકૂળ અસર કરી શકે છે.
રાજકારણ:શરદ પવાર-અજિતનો કિંગમેકર ફોર્મ્યુલા: મુંબઈમાં નવું જોડાણ કરવાની હિલચાલ?
રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ રાજકીય ગતિવિધિઓએ ગતિ પકડી છે અને ખાસ કરીને મુંબઈ મહાપાલિકામાં એક નવું સમીકરણ ઊભરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ત્રણ નગરસેવકો, શરદ પવાર જૂથના એક નગરસેવકો અને સમાજવાદી પાર્ટીના બે નગરસેવકો સહિત છ લોકોનું સ્વતંત્ર યુતિ બનાવવાની હિલચાલ ચાલી રહી છે. જો આ યુતિ સાકાર થાય છે, તો તે મહાપાલિકામાં સત્તા ગણતરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. છ નગરસેવકોના આ જૂથને સ્થાયી સમિતિમાં એક બેઠક, સુધારણા સમિતિમાં એક બેઠક અને શિક્ષણ સમિતિમાં એક બેઠક મળવાની શક્યતા છે. ઉપરાંત, આ જૂથને અન્ય નાની સમિતિઓમાં પણ પ્રતિનિધિત્વ મળી શકે છે. તેથી, સંખ્યાની રમતમાં આ છ લોકોનું મહત્ત્વ નોંધપાત્ર રીતે વધી જશે. ચૂંટણી દરમિયાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે લડનાર શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, પરિણામો પછી અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની નજીક જઈ રહી હોવાનું કહેવાય છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણી દરમિયાન એકબીજાથી વિરોધાભાસી રહેલા રાષ્ટ્રવાદીનાં બે જૂથો હવે મહાપાલિકામાં સરકાર બનાવવા માટે ભેગા થઈ શકે છે, જે મુંબઈના રાજકારણ માટે એક નવો વળાંક હોઈ શકે છે. મેયરપદના અનામત માટે આજે ડ્રો’- દરમિયાન, રાજ્યની તમામ 29 મહાપાલિકામાં મેયરપદના અનામત માટે ડ્રો 22 જાન્યુઆરીએ યોજાશે. આ ડ્રો મંત્રાલય ખાતે શહેરી વિકાસ વિભાગ દ્વારા યોજાશે, અને આ પ્રક્રિયા સવારે 11 વાગ્યે શરૂ થશે. આ ડ્રો પછી, સ્પષ્ટ થશે કે કઈ મહાપાલિકામાં કયા વર્ગના મેયર બેસશે. તેથી, મુંબઈ સહિત રાજ્યભરના રાજકીય પક્ષોનું ધ્યાન આ ડ્રો પર કેન્દ્રિત છે. હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી શકે- ભાજપ ૮૯ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ૬૫ બેઠકો મળી છે. એકનાથ શિંદેની શિવસેનાને ૨૯ બેઠકો, કોંગ્રેસને ૨૪, મનસેને ૬, AIMIMને ૮, NCPને ૩, સમાજવાદી પાર્ટીને ૨ અને NCP શરદ પવાર જૂથને ૧ બેઠક મળી છે. કુલ ૨૨૭ બેઠકોવાળા ગૃહમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી ન મળતાં, યુતિ, આઘાડી અને વ્યૂહરચનાઓને ખાસ મહત્ત્વ મળ્યું છે. તેથી, આગામી દિવસોમાં મુંબઈ મહાપાલિકામાં વધુ નાટકીય વિકાસની શક્યતા નકારી શકાય નહીં.
સિટી એન્કર:જીવદયાના મસીહા જીતુકાકાને મરણોત્તર સન્માનથી વિભૂષિત
શ્રી જાંબલી ગલી જૈન સંઘના કાર્યકારી સભ્ય તથા શ્રી અખિલ ભારતીય કૃષિ ગો સેવા સંઘ અને શ્રી વર્ધમાન પરિવારના ટ્રસ્ટીવર્ય અને અન્ય અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જીતુભાઈ દલીચંદ શાહને બોરીવલીના જાંબલી ગલીના જૈન સંઘ દ્વારા યુગપુરુષનું મરણોત્તર સન્માન સેંકડો ભાવિકોની હાજરીમાં પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં તેમની ગુણાનુવાદ સભામાં તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યું હતું. જીવદયાની અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અને શ્રી વર્ધમાન પરિવારના બોરીવલી કેન્દ્રના મોભી તેમ જ મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ અને વિનોબા ભાવે દ્વારા સંચાલિત થયેલ શ્રી અખિલ ભારતીય ગો સેવા સંઘના પણ તેઓ ટ્રસ્ટીવર્ય હતા. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિનીતસાગરસૂરિજી મ.સા. તથા પ. પૂ. પં. પ્ર. શ્રી સત્વબોધી મ.સા. તેમ જ પૂં. પં. પ્ર. શ્રી વીતરાગવલ્લભ વિજયજી મ.સા. લાંબો વિહાર કરીને બોરીવલીની જાંબલી ગલીની આ શ્રાવકની ગુણાનુવાદ સભામાં હાજર રહ્યા હતા. અને સભાને તેમના ગુણોનો પરિચય કરાવ્યો હતો.આ સભામાં વિધાનસભ્ય સંજયભાઈ ઉપાધ્યાય અને નવા ચૂંટાયેલા નગરસેવક ધવલભાઈ વોરા અને જીજ્ઞાસાબેન શાહ તેમ જ ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણભાઈએ પ્રાસંગિક વકતવ્યો કર્યા હતા. કચ્છમાં રહીને તેઓએ શ્રી વર્ધમાન પરિવાર દ્વારા પશુરક્ષાના મહાયજ્ઞમાં પાંચ વર્ષમાં લગભગ પચાસ કરોડ રૂપિયાનું અનુદાન મેળવીને પશુઓને જીવતદાન અપાવ્યું હતું. જેમાં ગુજરાત સરકાર તરફથી 20 કરોડ રૂપિયાની સબસિડી મળી હતી. શ્રી વિજયભાઈ રુપાણી હેલિકોપ્ટરમાં ગાંધીનગરથી રાજકોટ આવીને શ્રી સંવેગભાઈ દ્વારા અપાયેલ અમદાવાદ પાંજરાપોળનો બે કરોડનો ચેક શ્રી વર્ધમાન પરિવારને અર્પણ કર્યો હતો. આ મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચનજાંબલીગલી જૈન સંઘ, 27 સંઘ બોરીવલી શ્રી મુંબઈ જૈન સંઘ સંઘટન, શ્રી વિનીયોગ પરિવાર, શ્રી વર્ધમાન પરિવાર, શિવપાર્શ્વ ચેરિટી ટ્ર્સ્ટ, આદિ એકેડેમી, વર્ધમાન સંસ્કાર ધામ, (કચ્છથી) ગોવિંદભાઈ ગ્લોબલ કચ્છ, શત્રુંજય યુવક મંડલ, સમસ્ત મહાજન, એનિમલ વેલ્ફેર બોર્ડના રાજકોટના સભ્ય રાજેન્દ્રભાઈ, જીતુભાઈના પરિવારમાંથી - હિમાંશુભાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. મહાવીરભાઈ શાહે પ્રસંગને અનુરૂપ સુંદર ભાવવાહી ગીતો રજૂ કર્યા હતા અને અંતમાં શ્રી જાંબલી ગલી જૈન સંઘે જીતુભાઈ દલીચંદ શાહને યુગપુરુષની પદવી એનાયત કરીને તેમનું મરણોત્તર સન્માન કર્યું હતું.
અકસ્માત:રૂપિયાપુરા બસ સ્ટેન્ડ પાસે કારની અડફેટે 45 વર્ષીય મહિલાનું મોત
પેટલાદના રૂપિયાપુરા બસ સ્ટેન્ડ સામે ગામમાંથી ધાર્મિક પ્રસંગ પતાવી ઘરે જવા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કારના ચાલકે અડફેટે લેતાં તેણીનું મોત નીપજ્યું હતું. રૂપિયાપુરા ગામે બસ સ્ટેન્ડ સામે 45 વર્ષીય રમીલાબેન કાંતિભાઈ પટેલ રહેતા હતા. મંગળવારે સાંજે સાડા છ વાગ્યે રમીલાબેન, ભત્રીજાવહુ ઉર્વશીબેન સાથે ગામમાં ધાર્મિક પ્રસંગ હોઈ પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. દરમિયાન, સાંજે સાડા સાત વાગ્યે બંને જણાં ગામમાંથી ધાર્મિક પ્રસંગ પતાવીને ઘરે તરફ આવી રહ્યા હતા. દરમિયાન, પેટલાદ-બોરસદ રોડ સ્થિત રૂપિયાપુરા ગામના બસ સ્ટેન્ડ સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એ જ સમયે ગામમાં રહેતો ઈકો કારનો ચાલક વિપુલ દિનેશ વાળંદે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારી રોડ ક્રોસ કરી રહેલા રમીલાબેનને અડફેટે લીધા હતા. જેને પગલે તેઓ રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. તેમને શરીરે, મોઢામાં તેમજ માથામાં ગંભીર ઇજા થતા બેભાન થઈ ગયા હતા. બીજી તરફ અકસ્માત કરનારો વિપુલભાઈ વાળંદ જ તેની કારમાં રમીલાબેન પટેલને તાત્કાલિક કરમસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
વાહનચાલકોને અકસ્માતનો ભય:સામરખા ચોકડી પર ગેરકાયદે માર્કેટ સીલ કર્યું તો રોડ પર 70 પથારા લાગ્યા
નેશનલ હાઇવે નં 48 પર સામરખા ચોકડી પાસે એપીએમસી સંચાલિત સરદાર પટેલ શાકમાર્કેટ વર્ષોથી કાર્યરત છે. તેમ છતાં તેની બાજુમાં ગોડાઉનની પરિમશન હોવા છતાં ખાનગી શાકમાર્કેટ બનાવી દેતા મનપાએ સીલ કર્યું હતું. મનપાએ માર્કેટ સીલ કરતાં 70 જેટલા વેપારીઓએ હવે રોડની બાજુમાં પાથરણા પાથરીને ધંધો શરૂ કરવામાં આવ્યો છે. જે ભવિષ્યમાં ટ્રાફિક માટે અડયણ રૂપ બને તેમ છે. ત્યારે મનપા સહિત તંત્રએ જગ્યા ઘર કરી જાય તે પહેલા જ કોઇના ઇશારે બેસતા શાકભાજીવાળાને ખસેડવામાં આવે તેમ જનતા ઇચ્છે છે. ગત સપ્તાહે મનપા દ્વારા સામરખા ચોકડી પાસે આવેલા એપીએમસી સંચાલિત શાકમાર્કેટને અડીને ઉભા કરવામાં આવેલા ગેરકાયદે શાકમાર્કેટ ને સીલ કરવામાં આવ્યું હતું. જે બાદજથ્થાબંધ શાકભાજી વેચવા માટે વેપારીઓ રોડ પર બેસી ગયા છે. જેના કારણે વાહનચાલકોનો હાલાકીઓનો સામનો કરવો પડે છે. જેને લઇને એપીએમસીના વેપારીઓને સીધી અસર થઇ રહી છે. ત્યારે આ ગેરકાયદે શાકમાર્કેટ ઉભુ કરનારના ઇશારે વેપારીઓ રોડની બાજુમાં શાકબાજી વેચવા બેસી ગયા છે. તેમને તાત્કાલિક ખસડેવામાં નહીં આવે તો અકસ્માતો થવાની સંભાવના છે. જેથી તાત્કાલિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. એપીએમસીના નિયમ મુજબ 5 કિમી વિસ્તારમાં ખાનગી શાકમાર્કેટ ઉભુ ન કરાય એપીએમસીના ધારાધોરણ મુજબ 5 કિમી વિસ્તારમાં જથ્થાબંધ શાકભાજી ના વ્યવસાય કરી ન શકાય તેમ છતાં સીલ કરવામાં આવેલા ગેરકાયદે શાકમાર્કેટની બહાર જ પથારા લાગી ગયા છે. હા 48 પર સતત વાહનોની અવરજવર રહે છે. ત્યારે સામરખા ચોકડી પાસે ગેરકાયદે રોડની બાજુમાં પાથરણા નાંખીને શાકભાજી વાળા બેસી જાય છે.જેથી હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો શાકભાજી લેવા ઉભા રહેતા રોડ વાહનો ખડકાઇ જાય છે. જેથી અકસ્માત થવાનો ભય રહે છે.
અપહરણ:તિલકવાડીમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામે સગીર વયની દીકરી સાથે બદકામ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. ફરીયાદીની સગીરવયની દીકરીને દિપક ભીલએ આ સગીરા સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો. બાદમાં આ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેના ઘરેથી ભગાડી ગયો છે. આ બાબતે ફરિયાદીએ તેમની દીકરીનું અપહરણ અને દુષ્કર્મ કરવાની ફરિયાદ યુવાન સામે નોંધાવી છે. સગીરાની માતાની ફરિયાદના આધારે તિલકવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાર્યવાહી:જૂની અદાવતમાં 11 શખ્સો દ્વારા હુમલાનો પ્રયાસ, હથિયારો સાથે દબોચ્યા
નવા બાયપાસ રોડ પર જૂની અદાવતનું મનદુઃખ રાખી 11 શખ્સોએ 2 પિતરાઈ પર હુમલો કરવાની કોશિષ કરી હતી. જોકે પોલીસે તમામને પકડી લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જૂનાગઢ તાલુકાના ગલીયાવડ ગામના 35 વર્ષીય કાસમભાઈ આમદભાઈ સીડાની ફરિયાદ અનુસાર યુવાન અને ઈબ્રાહીમ ઓસમાણ અને તેના ભાઈઓ વચ્ચે આશરે સાતેક વર્ષ પહેલાં દુકાન ખાલી કરવા મુદે ઝઘડો થયો હતો. અને સામ સામે ગુનો દાખલ થયો હતો. જેની અદાવત હજુ પણ ચાલી રહી હતી. મંગળવારે સાંજે યુવક, પિતરાઈ તોસીફ આમદભાઈ ગલીયાવડ ગામે ગેબનશા પીરની દરગાહ પાસે નવા બનતા પુલમાં પાણી છટકાવ કરવાનું કામ રાખેલ હોય જ્યાં ગયા હતા. બાદમાં બાઈક લઈને નવા બાયપાસ રોડ પર આવેલ હોટલ પર ચા પીવા ગયા હતા, ત્યારે હોટેલ પર ગલીયાવડના ઈબ્રાહીમ ઓસમાણ, તારમહમદ ઉર્ફે ડાડો મહમદ સીડા, જૂનાગઢના હર્ષદનગરના તોસિફ આમદ સીડા, મહમદ કાસમ સીડા, તેનો દીકરો બેઠા હતા અને બંને યુવકના જોતા ઇબ્રાહીમ ઓસમાણ એ ગાડીમાંથી હથિયાર કાઢો આજે આ બંનેનું અહીં પૂરું કરી દેવું છે કેમ કહેતા તેની સાથેના શખ્સોએ કારમાંથી લાકડી લોખંડનો પાઇપ કાઢતા જેથી બંને યુવાનોએ બાઈક વાળી લઈ થોડે આગળ રોડ પર ઉભી રાખી હતી. આ દરમ્યાન 3 બાઈક પર જુસબ ઉર્ફે બાબુ હુસેન સીડા, ઈરફાન ઈકબાલ, તેનો મોટો દીકરો, હનીફ ઉર્ફે કાદુ ઈબ્રાહીમ, રફીક ઈબ્રાહીમ, આદિલ દાઉદ સીડા હથિયારો સાથે હોટલ પર ધસી આવ્યા હતા. બંને યુવક સર્વિસ રોડ પર ઉભા હતા તેવામાં મુસ્તફા, તુષાર ભાલા લઈને આવ્યા હતા. જોકે, સમયસૂચકતા વાપરી પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી શખ્સોને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. ઘટના અંગે તાલુકા પોલીસે કાસમ આમદભાઈની ફરિયાદ આધારે 11 શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ફરિયાદ:કૌટુંબિક અણબનાવમાં વૃદ્ધ પર વેવાઇના કુંટુંબી ભાઈનો હુમલો
વંથલી નજીક કૌટુંબિક અણબનાવમાં શાપુરના વૃદ્ધ પર કુટુંબી ભાઈએ હુમલો કરી ધમકી આપી હતી. બનાવની વિગતો અનુસાર શાપુરના 57 વર્ષીય વૃધ્ધ નારણભાઈ ઉકાભાઈ ગુજરીયાના દીકરા અને દીકરીના લગ્ન ગોદળભાઈ ઉકાભાઇ ધાનોયા દીકરા, દીકરી સાથે સામસામે થયા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી નારણભાઈની પુત્રવધૂ રિસામણે છે. આ બાબતે મનદુઃખ ચાલતું હતું. ગત તા. 19 જાન્યુઆરીના રોજ સવારે નારણભાઈ જ્યારે વંથલી પાસેના સોનારડી ગામથી જિંજુડા જતા હતા, ત્યારે તેના વેવાઇના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે રહેતા કુટુંબી ભાઈ જીવા પોલાભાઈ ધાનોયાએ તેમને અટકાવી પુત્રીને સાસરે મોકલવા મુદે બોલાચાલી કરી હતી. ઝઘડો ઉગ્ર બનતા શખ્સે નારણભાઈનો કોલર પકડી ગાળો કાઢી હતી અને પથ્થર વડે માથાના પાછળના ભાગે હુમલો કર્યો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાથી ઈજાગ્રસ્ત થયેલા નારણભાઈને વંથલી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વૃધ્ધની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રોજગાર મેળા:20 યુવાનોની પસંદગી બાદ હવે 23મીએ જૂનાગઢમાં ફરી ભરતીમેળો
જૂનાગઢ જિલ્લાના બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જે.કે.એમ. કોમર્સ, બીબીએ એન્ડ બીસીએ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળા માટે જિલ્લાના આશરે 2000થી વધુ ઉમેદવારોને બોલાવવામાં કરવામાં આવ્યા હતા. પ્રક્રિયા દરમિયાન હાજર રહેલા ઉમેદવારોમાંથી ખાનગી એકમોએ ભાગ લીધો હતો. કંપનીના અધિકારીઓએ ઉમેદવારોને જોબ પ્રોફાઇલ વિશે વિગતવાર માહિતી આપી વ્યક્તિગત ઇન્ટરવ્યુ લીધા હતા. લાયકાત અને કૌશલ્યના આધારે 20 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે, જેમને હવે પછીના રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. આ ઉપરાંત, રોજગાર કચેરીના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત યુવાનોને મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ. પોર્ટલ વિશે માર્ગદર્શન આપી કારકિર્દી ઘડતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. આગામી ભરતીમેળો 23મીએ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી 23 જાન્યુઆરીના રોજ સવારે બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે અન્ય એક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી સંસ્થાઓ ભાગ લેશે. ધોરણ 10 પાસથી લઈ સ્નાતક સુધીની લાયકાત ધરાવતા 18 થી 40 વર્ષના ઉમેદવારો આ તકનો લાભ લઈ શકશે.
કામગીરી:ભેળસેળીયુ સોનું કેસ, બરોડાથી મુદામાલ મેળવવા ક્વાયત
કેશોદના સોની બજારમાં નરેન્દ્રભાઇ ખીમજીભાઇ પાલાની દુકાને પીળી ધાતુ જેવા દેખાતો સોનાનો હાર પધરાવી અવેજીમાં 2,62,996 બે સોનાના ચેઇન 22000 રોકડ તેમજ જુનાગઢ ખાતે ન્યુ ગિરિરાજ જ્વેલર્સના જમનભાઈ છગનભાઇ પાલાની દુકાનેથી ભેળસેળ વાળી હાંસડી વેંચાણ કરી 3.1 લાખના સોનાનો ચેઈન, વીંટી ખરીદી છેતરપીંડી કરી હતી પોલીસે બંને જગ્યાએ એક અજાણી મહિલા અને અજાણ્યો પુરૂષ વિરૂધ્ધ ગુનોં નોંધી પોલીસને મળેલ વિગતોમાં જેમની ભૂમિકા જણાઇ તેવા શંકાસ્પદ ઇસમોના ફોટા આધારે તપાસ હાથ ધરી જૂનાગઢ એલસીબીની ટીમે બરોડાથી બાતમીના આધારે આરોપી ધર્મેન્દ્ર ફાગુભાઇ શાહુ અને કિરણદેવી સંજયભાઈ યાદવને ઝડપી પાડ્યાં હતાં. બાદમાં આરોપી ધર્મેન્દ્રના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં જ્યારે કિરણદેવીને નોટીસ આપી મુક્ત કર્યા હતાં. આ કામના આરોપીઓ પાસેથી બરોડા રેલવે પોલીસે જપ્ત કરેલ મુદામાલ કેશોદ પોલીસે જમા લેવા તજવીજ હાથ ધરી અને બંને આરોપીની કેશોદ પીએસઆઇ એમ. ડી. મકવાણા સહિતના સ્ટાફે પૂછપરછ હાથ ધરી છે.
વાતાવરણ:ઠંડી ઘટી, સવારે તાપમાન 1.5, બપોરે 2.9 ડિગ્રી વધ્યું
જૂનાગઢ સહિત સોરઠમાં મંગળવારે ગિરનાર પર 11 દિવસ બાદ ફરીથી 5.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ બુધવારની સવારે પારો 1.5 ડિગ્રી ઉપર ચડીને 7 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગિરનારની માફક જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રીના વધારા સાથે 12 ડીગ્રી નોંધાયું હતું. જોકે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણે 80 ટકા રહેતા ધુમ્મસ છવાઈ ગયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તા. 22મીએ ઉત્તર ભારતમાં જોવા મળશે. જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થશે. જ્યારે સોરઠ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 22, 23, 24 જાન્યુઆરી તાપમાન સામાન્ય રહેશે. સવારના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હોય ઠંડીથી લોકોને રાહત રહેશે પરંતુ 25 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે એમ હવામાન અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્યુ હતુ.
વધારાના ખર્ચને મંજૂરી:પ્રોજેક્ટ માટે માંગ્યા 8.20 કરોડ કોર્પોરેશને આપ્યા 9.44 કરોડ !
શહેરના હાર્દ સમાન નરસિંહ મહેતા તળાવના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ખર્ચના આંકડાઓ હવે વિવાદનું કેન્દ્ર બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 9.44 કરોડના વધારાના ખર્ચને મંજૂરી આપવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. નવાઈની વાત એ છે કે, જૂન 2024માં અધિકારીઓ દ્વારા માત્ર 8.20 કરોડની જ માંગણી કરવામાં આવી હતી, તો અચાનક આ રકમમાં વધારો કઈ રીતે થયો? .વર્ષ 2023-24માં જ્યારે આ કામના ઠરાવ થયા ત્યારે સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે કામ ટેન્ડરની મર્યાદામાં જ પૂર્ણ કરવાનું રહેશે. જૂન 2024ના ઠરાવ મુજબ અંદાજિત 52 કરોડના કામમાં 8 કરોડનો વધારો ઉમેરીને 60 કરોડમાં પ્રોજેક્ટ આટોપવાની ગણતરી હતી. પરંતુ છેલ્લે મળેલી સ્ટેન્ડિંગના નિર્ણય બાદ આંકડો મર્યાદા વટાવી રહ્યો હોય તેમ જણાય છે. પ્રોજેક્ટમાં સીસીટીવી કેમેરા માટે ફાળવવામાં આવેલી રકમ એટલી મોટી છે કે તેમાં આખા શહેરને આવરી શકાય તેમ છે. વધુમાં, કોટા સ્ટોનના ફ્લોરિંગમાં 'વાટા' મારવા માટે અલગથી 65 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે ટેન્ડરમાં પથ્થર ફિટિંગની સાથે જ ફિનિશિંગનું કામ સામેલ હોય છે, ત્યારે આ અલગ ખર્ચ ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટેન્ડીંગ ચેરમેનના ભેદભરમ કહ્યું, ફોનમાં હુ કાંઇ નહીં કહુસ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે ભાસ્કરને કહ્યુ હતુ કે, ફોનમાં હું કંઇ વાત કરવા માંગતી નથી. હું તમને ટેલિફોનિક કોઇ જ માહિતી આપીશ નહી. નરસિંહ મહેતા તળાવ પ્રોજેક્ટ માટે 1 કરોડથી પણ વધુ રકમ આપી દેવાના મામલે સ્થાયી સમિતી ચેરમેન પાસે કોઇ તર્ક સંગત વાત નથી. જો વહિવટ પારદર્શક રીતે થતો હોય તો સત્ય હકિકત ફોનમાં પણ કોઇ પણ વ્યક્તિ બયાન કરી શકે.
સમસ્યા:ટીંબાવાડી અર્બન સેન્ટરમાં 5ની સામે 2 જ મેડિકલ ઓફિસર !
જૂનાગઢ શહેરમાં ખાડાની સાથે આરોગ્યક્ષેત્ર પણ મનપા ગંભીર નથી તેવુ સામે આવ્યુ છે. એક અરજદારે શહેરમાં મનપા હેઠળના 7 અર્બન સેન્ટરમાં મેડિકલ ઓફીસર, સ્ટાર્ફનર્સ, ફાર્માસીસ્ટ, એક્સરે ટેકનીશયન કેટલા મંજૂર છે સામે કેટલા ભરેલા છે સહિતની માહિતી મનપાના મેડિકલ ઓફીસર પાસે માંગતા સ્ટાફની ઘટ, મનપા ગંભીર નથી સહિતનુ સામે આવ્યુ હતુ. અરજદાર હમીર રામે જણાવ્યુ કે, શહેરના 7 અર્બન હેલ્થ સેન્ટરમાંના ટીંબાવાડી અર્બન સેન્ટર 60 બેડનુ મંજૂર થયેલુ છે. જેમાં કુલ 5 મેડિકલ ઓફીસર પર મંજૂર થયેલા છે. પરંતુ માહિતીમાં માત્ર 2 જ મેડિકલ ઓફીસર ભરેલા તેમજ 9 સ્ટાર્ફનર્સ સામે માત્ર 3 જ ભરેલા હોવાનુ ખુલ્યુ હતુ. તેમજ ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં જો કોઇ દર્દી જાય તો તુરંત જ સિવિલ ખાતે રીફર કરી દેવામાં આવે છે પુરતી સારવાર આપવામાં આવતી નથી તેવા પણ અરજદારે આક્ષેપ કર્યા છે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરોની વિગત1) આંબેડકરનગર - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 2) દોલતપરા - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 3) ગણેશ નગર - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2ની સામે 1, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 4) શાંતેશ્વર - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 5) ટીંબાવાડી - મેડિકલ ઓફીસર 5ની સામે 2, સ્ટાફનર્સ 9ની સામે 3, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 1, પટ્ટાવાળા 2ની સામે 1 6) ગાંધીગ્રામ - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 7) નાકોડા (ભવનાથ) - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2ની સામે 0, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેક્નીશયન 0, પટ્ટાવાળા 1
વાતાવરણ:સોરઠમાં ઠંડી ઘટી, તાપમાન 1.5, બપોરે 2.9 ડિગ્રી વધ્યું
જૂનાગઢ સહિત સોરઠમાં એક દિવસની હાડ થીજવતી ઠંડી બાદ 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થતા લોકોને ઠંડીથી આંશિક રાહત મળી હતી. બુધવારની સવારે પારો 1.5 ડિગ્રી ઉપર ચડીને 7 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આમ ઠંડીમાં ઘટાડો થતાં ગિરનાર દર્શન માટે આવેલા ભાવિકો સહિતના પ્રવાસીઓએ રાહત અનુભવી હતી. ગિરનારની માફક જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રીના વધારા સાથે 12 ડીગ્રી નોંધાયું હતું. જોકે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણે 80 ટકા રહેતા ધુમ્મસ છવાઈ ગયું હતું. સવારથી પવનની પ્રતિક કલાકની ઝડપ 4.4 કિલોમીટરની રહેતા મહત્તમ તાપમાન પણ 2.3 ડિગ્રી વધીને 29.8 ડિગ્રી નોંધાયું હતું.
અરજદારોને ભારે મુશ્કેલી:કર્મીએ નોકરી મૂકી દેતા મનપાના આધારકાર્ડ સેન્ટરની 1 કીટ બંધ
પોરબંદરના મહાનગરપાલિકા ખાતે આધારકાર્ડ સેન્ટર આવેલ છે. આ સેન્ટરમાં 2 સિસ્ટમ મારફતે અરજદારોની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ એક સિસ્ટમનું સંચાલન કરતા એક ઓપરેટર નોકરી મૂકી દેતા હાલ એક જ સિસ્ટમ મારફતે કામગીરી થઈ રહી છે જેથી હાલ કામગીરી અડધી થઈ છે.ત્યારે એજન્સી દ્વારા નવા કર્મીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે પરંતુ તેમનું આઈ. ડી. જનરેટ ન થતા કામગીરી શરૂ થઈ નથી. મહાનગરપાલિકા કચેરી ખાતે પણ આધારકાર્ડ સેન્ટર કાર્યરત છે. પરંતુ આ સેન્ટર ખાતે આવેલ 2 સિસ્ટમમાંથી 1 સિસ્ટમનું સંચાલન કરતા કર્મીએ નોકરી મૂકી દેતા છેલ્લા ઘણા દિવસોથી આ સેન્ટર ખાતે એક જ સિસ્ટમ મારફતે આધારકાર્ડ કામગીરી કરવામાં આવી રહી છે.જેથી અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કામગીરી અડધી થઈ ગઈ અગાઉ બંને સિસ્ટમ કાર્યરત હતી ત્યારે 100 જેટલા અરજદારોની આધારકાર્ડ કામગીરી કરવામાં આવતી હતી ત્યારે હવે માત્ર 50 અરજદારોની આધારકાર્ડ કામગીરી થઈ રહી છે જેથી અન્ય અરજદારોને કામગીરી માટે અન્ય સેન્ટર ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે.
વાતાવરણ:પોરબંદરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 27 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી નીચું આવીને 27 ડિગ્રી નોંધાયું છે જયારે લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 15 ડીગ્રીએ પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા યથાવત રહ્યું છે ત્યારે ઠંડીમાં આંશિક રાહત મળી છે. પોરબંદરમાં ઠંડા પવનના સુસવાટા સામે લોકોને આંશિક રાહત મળી છે. પોરબંદરમાં ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું જેની સામે બુધવારે મહતમ તાપમાન 1 ડિગ્રી નીચું આવીને 27 ડિગ્રી નોંધાયું છે જેથી સવારના ભારે ઠંડીનો અહેસાસ થાય છે. પોરબંદરમાં ગઈકાલે મંગળવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું જ્યારે બુધવારે લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 15 ડીગ્રીએ પહોંચ્યું છે જેને કારણે સાંજે ઠંડા પવનના સુસવાટામાં તો રાહત મળી છે, પરંતુ રાત્રિના સમયે લોકોને કકળતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પોરબંદરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા યથાવત રહ્યું છે.
પોરબંદરમાં મનપાએ જુલાઈ માસમાં મિલકતમાં નામ ટ્રાન્સફરમાં ફી ઘટાડવાની જાહેરાત કર્યા બાદ હજુસુધી તેની અમલવારી કરી નથી જેને કારણે અરજદારો મુશ્કેલી વેઠી રહ્યા છે. મિલકત નામ ટ્રાન્સફરમાં ફરજિયાત હોય તેવા અત્યાર સુધીમાં 826 લોકોએ 43,10,985 રૂપિયા ભર્યા છે એટલેકે મનપાએ જાહેરાત કર્યા બાદ આ 827 લોકોએ વધુ રૂ.21.50 લાખ ચૂકવ્યા છે. અમલવારી થશે તેવી આશાએ હજુ 2 હજારથી વધુ લોકો ફી ઘટાડાની રાહ જોઈને મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવતા નથી. ભરેલા રૂપિયા પરત મેળવવા ક્લેઈમ કરવાની લાંબી મસકત કરવી પડશે. પોરબંદર પાલિકાની બોડી દ્વારા મિલકત નામ ટ્રાન્સફરનો પણ ટેક્સ વધારી દેવામાં આવ્યો હતો, લોકોના રોષને પગલે મનપાના કમિશનરે નવા દર જાહેર કરી મિલકત નામ ટ્રાન્સફર ફીમાં જુના દર રહેણાંક મિલકતના નામ ટ્રાન્સફર માટેની ફી દસ્તાવેજની કિંમતના 0.50 ટકા હતા જેમાં નવા દર 0. 25 ટકા કરવામાં આવ્યા છે, જ્યારે કોમર્શિયલ મિલકતના નામ ટ્રાન્સફર ફીમાંજૂનો દર દસ્તાવેજની કિંમત પર 1 ટકા હતો જેમાં નવા દર અડધો ટકો કરવામાં આવ્યો છે. આ જાહેરાત ગત જુલાઈ 2025માં કરવામાં આવી હતી, પરંતુ હજુસુધી ઘટાડેલા ફીની અમલવારી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છેકે, જુલાઈ 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં જિલ્લામાં કુલ 5710 દસ્તાવેજ થયા છે તેમાંથી પોરબંદર મનપા વિસ્તારની વાત કરીએ તો 2 હજારથી વધુ લોકોએ દસ્તાવેજ કરાવ્યા છે. મનપાએ જાહેરાત બાદ પણ નામ ટ્રાસફર ફીમાં ઘટાડાની અમલવારી ન કરાવી હોવા છતાં હાલ અતિ જરૂરિયાત વાળા 826 લોકોએ ડબલ રૂપિયા એટલેકે 43,10,985 રૂપિયા ચૂકવી નામ ટ્રાસફર કરાવ્યા છે. મનપાએ જાહેરાત કર્યા બાદ પણ વધુ ફી ઉઘરાવી પ્રજાના રૂ.21.50 લાખ ખંખેરી લીધા છે જ્યારે 2 હજારથી વધુ લોકો નામ ટ્રાન્સફર ફીમાં ઘટાડો થશે તેવી આશાએ નામ ટ્રાન્સફર કરાવતા નથી. ઉલ્લેખનીય છેકે, જેતે વખતે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી એવું જણાવ્યું હતુકે, મિલકત નામ ટ્રાન્સફર માટે કાં તો અરજદારોએ રાહ જોવી પડશે અથવા તો જે રૂપિયા ભર્યા હશે તેને પરત મેળવવા ક્લેઇમ કરવો પડશે. હવે રૂપિયા પરત જોતા હોય તો ક્લેઇમ કરવા અરજદારોને લાંબી મસકત કરવી પડશે. દસ્તાવેજ બાદ 1 વર્ષ થાય તો પેનલ્ટી લાગે તેમ છે ઉલ્લેખનીય છેકે, દસ્તાવેજ બાદ નામ ટ્રાન્સફર કરવું અતિ જરૂરી બને છે, ખાસ કરીને બેંકમાં લોન લેવા માટે, બાંધકામની પરવાનગી માટે હાઉસ ટેકસમાં વેરાની પહોંચની જરૂર હોય છે, જો વેરા પહોંચમાં નામ ન ચડે તો કામ અટકી પડે છે. વધુમાં દસ્તાવેજ બાદ 1 વર્ષ થાય અને નામ ચડાવ્યું ન હોય તો પેનલ્ટી લાગે છે. દરખાસ્ત મૂકી છે - કમિશનરમિલકત નામ ટ્રાન્સફર માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં દરખાસ્ત મૂકી હતી પરંતુ ત્યાંથી ટેકનીકલી રીતે કવેરી આવી છે જેથી એ કવેરી સુધારી ફરીથી દરખાસ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. >એચ.જે. પ્રજાપતિ, કમિશન, મનપા, પોરબંદર પહેલા કેટલા રૂપિયા હતા ? પાલિકા હતી ત્યારે મિલકત નામ ટ્રાન્સફર માટે રહેણાંક મિલકતના રૂ.1 હજાર અને કોમર્શિયલ મિલકતની રૂ. 2 હજાર ફી હતી. પાલિકા બોડી એ જ ઠરાવ મંજૂરી લઈને રહેણાંક મિલકતના દસ્તાવેજ પર અડધો ટકો અને કોમર્શિયલ મિલકત પર દસ્તાવેજ કિંમત પર 1 ટકા ફીનો નિર્ણય કર્યો હતો. મનપા થતા જુલાઈમાં જાહેરાત કરી હતી કે, રહેણાંક મિલકતમાં 0.25 ટકા અને કોમર્શિયલમાં અડધા ટકા લેવામાં આવશે .
ન્યાયિક માંગ:‘ભાગિયા’ કેમ ઉપેક્ષિત? પાક નુકસાનીનીસહાયમાં મજૂરોને 30% હિસ્સો આપવા માંગ
ગુજરાતના ખેતી ક્ષેત્રે ભાગિયા કે ઉચક મજૂરી પર કામ કરતા લાખો ખેત મજૂરોની આર્થિક પાયમાલીના મુદ્દે આજે સુરેન્દ્રનગર ખાતે વિરોધનો સૂર ઉઠ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આદિવાસી પરિવાર મજૂર સંગઠન દ્વારા સંયુક્ત રીતે પદયાત્રા યોજીને સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ અને ન્યાયિક માંગણી રજૂ કરવામાં આવી છે. ગુજરાતના ખેતી ક્ષેત્રે ભાગિયા કે ઉચક મજૂરી પર કામ કરતા લાખો દલિત, આદિવાસી અને પછાત વર્ગના ભૂમિહીન ખેત મજૂરો આજે આર્થિક પાયમાલીનો સામનો કરી રહ્યા છે. ખેતીની પ્રવર્તમાન પદ્ધતિ મુજબ, જમીન માલિકો માત્ર રોકાણ કરે છે, જ્યારે વાવણીથી લઈને લણણી સુધીની રાત-દિવસની સખત મજૂરી આ મજૂરો કરે છે. જ્યારે અતિવૃષ્ટિ, વાવાઝોડું કે દુષ્કાળ જેવી કુદરતી આફતો આવે છે, ત્યારે સરકાર દ્વારા SDRF અને NDRF અંતર્ગત ચૂકવવામાં આવતી સહાય હેક્ટર મજૂરને એક રૂપિયો પણ મળતો નથી. જેના કારણે તે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. માંગણી છે કે, સરકાર દ્વારા જમીન માલિકોને અપાતી સહાય સિવાયનુ વધારાનુ પેકેજ જાહેર કરી મજૂર/ભાગિયાને ચૂકવવામાં આવે. તે આજરોજ સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા આદિવાસી પરીવાર મજૂર સંગઠનના સંયુક્ત રીતે પદયાત્રા યોજી અમો આ આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ. આશા છે કે સરકાર ગરીબ મજૂરોની વેદના સમજશે અને ન્યાય આપશે. કુદરતી આફતમાં પાક નિષ્ફળ જતાં માત્ર ખેત માલિકોને જ લાભખેતીની પ્રવર્તમાન પદ્ધતિમાં જમીન માલિકો મૂડી રોકાણ કરે છે, પરંતુ વાવણીથી લણણી સુધીની સખત મજૂરી ખેત મજૂરો કરે છે. જ્યારે અતિવૃષ્ટિ કે વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, ત્યારે સરકાર દ્વારા હેક્ટર દીઠ જે 22,000 જેવી સહાય ચૂકવાય છે. તે સીધી જમીન માલિકના ખાતામાં જમા થાય છે. પાક નિષ્ફળ જવાથી મજૂરની આખા વર્ષની મહેનત પણ એળે જાય છે, છતાં તેને વળતર તરીકે એક રૂપિયો પણ મળતો નથી. { નૌશાદ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
કમૂરતાને લીધે લગ્ન સહિતના શુભકાર્યોને બ્રેક લાગી હતી. એસટી બસ અને ડેપોમાં પણ મુસાફરોની પાંખી હાજરી જોવા મળે છે. બસ મોટાભાગની ખાલી દોડાવવી પડી રહી હતી. પરંતુ કમૂરતાં ઉતરતા જ ચારેબાજુ લગ્નસરાની સિઝન જામવાની છે. તેની અસર અત્યારથી જ સુરેન્દ્રનગર એસટીમાં જોવા મળી રહી છે. હાલ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં જાન્યુઆરથી ફેબ્રુઆરી એટલે કે બે માસની લગ્નની સિઝન માટે 8 બસનું બુકિંગ લોકોએ તા. 20 જાન્યુઆરી સુધીમાં કરાવ્યું હતું. કમૂરતા બાદ માત્ર ડેપોમાં બસનું બુકિંગ કરાયું હતું. 1 કિમીનું રૂ. 42 ભાડુ છે અને 51 સીટની બસ લગ્ન માટે ફાળવવામા આવે છે. જો કે, એસટી બસના ભાડા વધતા તેની અસર દેખાઇ હોય તેમ હજુ ડેપોમાં ધીમી ગતિએ લગ્ન માટે બસનુ લોકો બુકિંગ કરાવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. અઠવાડીયામાં 20 ટકા ડિપોઝિટ જમા કરાવી પડેએસટી બસનું જો લોકોએ શુભ પ્રસંગ માટે બુકિંગ કરાવવું હોય તો 15 દિવસમાં બસ નોંધાવી જરૂરી છે. આ ઉપરાંત જે અંતર મુજબનું એસટી ભાડુ થતુ હોય તેના 20 ટકા રકમ ડિપોઝીટ તરીકેની રકમ પણ અઠવાડીયામાં જમા કરાવી પડે સહિતના નિયમો છે. { ડી.વી. ચૌધરી, ડેપો મેનેજર, સુરેન્દ્રનગર એસટીની વેબસાઈટ પર બસનું બુકિંગ ઓનલાઈન કરાવી શકશે લગ્ન માટેની બસ બુકિંગ ઓનલાઈન થઇ શકશે. એસટી નિગમની વેબસાઈટ અપડેટ કર્યા બાદ જાનૈયાઓએ લગ્નપ્રસંગે લઇ જવાની બસનું બુકિંગ હવે આંગળીના ટેરવે ઓનલાઈન કરાવી શકશે. https://www.gsrtc.in વેબસાઈટ પર હાયર બસ ઓપ્શનમાં જઈને યાત્રિક ઓનલાઈન બસનું બુકિંગ કરી શકશે.
ફૂડ વિભાગે તપાસ હાથ ધરી:સ્વચ્છતા ન જાળવતાં મહેસાણાના પાણીપુરી વેચતા 23 વેપારીઓને ફૂડ વિભાગની નોટિસ
મહેસાણાના 26 જેટલા પાણીપુરીની લારીઓ અને સ્ટોલના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં આ ચાર સ્થળેથી બાફેલા બટાકા, ડુંગળી અને તૈયાર મસાલાનો નાશ કરાયો હતો. તેમજ સ્વચ્છતા નહીં જાળવનાર 23 વેપારીઓને નોટિસ આપી હતી. 10 દિવસ બાદ ફરીથી ચેકિંગમાં સ્વચ્છતા નહીં હોય તો તેમની સામે અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરાશે. ગાંધીનગરમાં ટાઈફોઇડ સહિતના વકરેલા રોગચાળા બાદ ઊંઝા શહેરમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ કરાયો હતો. ત્યારે મહેસાણામાં પણ પાણીપુરીને લઈ કોઈ રોગચાળો ફાટી ન નીકળે તે માટે જિલ્લા ફૂડ વિભાગ ની ટીમે 19 અને 20 જાન્યુઆરીએ શહેરમાં પાણીપુરી વેચતી 26 લારીઓ અને સ્ટોલ પર તપાસ કરી હતી. જ્યાંથી પાણીપુરીનું પાણી, બાફેલા બટાકા, ચણા, ચટણી, ઝીણી સેવ, ગ્રીન ચટણી, રગડો, ચણા, બટાકા સહિતના 46 સેમ્પલ લીધા હતા. પરા વિસ્તારની વૃંદાવન પકોડીમાંથી બાફેલા ખરાબ બટાકા અને ચણા, કાપેલી ડુંગળી અને મસાલો, જ્યારે સાંઈબાબા રોડની ન્યુ રાજ પકોડી અને બિલાડી બાગ પાસેની કિશોર અને કિશન પકોડીમાંથી ખરાબ બટાકા, તળેલું તેલ અને ફૂગ લાગેલી ટામેટા પેસ્ટનો નાશ કર્યો હતો.
પાટણ નગરપાલિકાના વર્ષ 2017માં કરોડોના ખર્ચે બનેલા સરદાર પટેલ નગર સેવા સદનની નબળી ગુણવત્તાનો નમૂનો સામે આવ્યો છે. બિલ્ડિંગના ઉપરના માળે આવેલા વોશરૂમ અને શૌચાલયના બ્લોક ટૂંકા ગાળામાં જ ખવાઈ જતાં ગંદા પાણીના લિકેજનો ગંભીર પ્રશ્ન સર્જાયો હતો. આખરે લાંબા સમયની હાલાકી બાદ પાલિકા દોઢ લાખના ખર્ચે રિપેરીંગની કામગીરી હાથ ધરી છે. પાલિકાના ઉપરના માળના ટોયલેટ બ્લોકમાં ડ્રેનેજ જામ થવાથી અને લિકેજ હોવાથી ગંદુ, દુર્ગંધ મારતું પીળાશ પડતું પાણી નીચેના માળે ટપકતું હતું. ભોંયતળિયે આવેલી આવાસ યોજના અને સ્ટ્રીટલાઇટ શાખાની કચેરીઓની છત અને ભીંતોમાંથી પાણીનો ધોધ પડતો હોવાથી કર્મચારીઓ માટે ઓફિસમાં બેસવું પણ મુશ્કેલ બન્યું હતું. આ ગંદા પાણીના કારણે સરકારી દસ્તાવેજો બગડવાની અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાતી હતી. વારંવારની રજૂઆતોના અંતે પાલિકાએ આશરે રૂ.1.50 લાખનું ટેન્ડર બહાર પાડી એજન્સી નક્કી કરી છે. હાલમાં રિપેરીંગ કામ શરૂ થતાં ઉપરના માળના બંને ટોયલેટ બ્લોક ઉપયોગ માટે બંધ કરી દેવાયા છે અને ત્યાં પ્રવેશબંધીની સૂચના લગાવી છે. જોકે, માત્ર 7 વર્ષમાં જ નવા બિલ્ડિંગની આવી હાલત થતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવા પાટણની ધરતી પર દિવ્યાંગો માટે એક વિશેષ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.મુંબઈની રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી ક્રિષ્ના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરાયું છે. પાટણની ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે.જે અંતર્ગત પોલિયોગ્રસ્ત વ્યક્તિઓને કેલીપર્સ આપવામાં આવશે.આ ઉપરાંત, અકસ્માત કે અન્ય કારણોસર જેમના ઘૂંટણથી ઉપર કે નીચેના પગ કપાયા હોય તેવા વ્યક્તિઓને આધુનિક જયપુર ફૂટ અને રત્નનિધિ લેગ બેસાડવામાં આવશે.આ સાધનો થકી દિવ્યાંગો અન્ય પર નિર્ભર રહેવાને બદલે સ્વાવલંબી બની શકશે. ક્રિષ્ના ગ્રુપ પાટણના પ્રમુખ કિરણ દેસાઈએ જણાવ્યું હતું.પાટણ સહિત વાવ થરાદ બનાસકાંઠા અને મહેસાણા માંથી 50 થી વધારે રજિસ્ટ્રેશન થયા છે. 25 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે ત્યારબાદ 30-31એમ બે દિવસ પાટણ ખાતે હાથપગના માપ લેવામાં આવશે.કુલ 200 રજિસ્ટ્રેશનનો ટ્રાગેટ છે.કૃત્રિમ હાથપગ મળવા થી દિવ્યાંગો આત્મનિર્ભર થશે અને પોતાના રોજિંદા કામો સરળતાથી કરી શકશે.
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યુનેસ્કો અને રાજ્ય સરકારના સહયોગથી આયોજિત સાયબર સિક્યુરિટી ટ્રેનિંગમાં પ્રથમ વાર ઉદ્ઘાટનમાં સમયનો બગાડ કર્યા વિના સીધી સાયબર સિક્યુરિટી અંગે તાલીમ શરૂ કરાતા વિદ્યાર્થીઓએ આ અભિગમને વધાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં કવચ કેન્દ્ર દ્વારા દરેક કોલેજો માંથી બે વિદ્યાર્થીઓને બોલાવીને આજના સમયમાં થઈ રહેલા ડિજિટલ એરેસ્ટ સહિતના સાયબર ક્રાઈમ અંગે બચાવ અને જાગૃતતા માટે યુનેસ્કો તરફથી નિષ્ણાતોમાં મહંમદ અફઝલ, અન્વિતા પરમાર, કથા રે, અનુષ્કા વર્મા, મજહર મોહીન અને મીનલ છેડા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને 10 થી 4 6 કલાક સુધી પ્રેક્ટિકલ સાથે તાલીમ આપી હતી. જેમાં ત્રણ શબ્દો વચ્ચેનો ભેદ સમજાવ્યો, જે દરેક સોશિયલ મીડિયા યુઝર માટે જરૂરી છે.જેમાં ઇન્ફોર્મેશન - સાચી માહિતી , મિસઇન્ફોર્મેશન - અજાણતા ફેલાતી ખોટી માહિતી અને ડિસઇન્ફોર્મેશન - કોઈને નુકસાન પહોંચાડવા જાણી જોઈને ફેલાવાતી અફવા અંગે સમજૂતી આપી હતી. સાથે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કેસ સ્ટડી અને ગેમ્સ દ્વારા જકડી રાખ્યા હતા. યુનેસ્કોના નિષ્ણાતોએ મોબાઈલ સેટિંગ્સ અને પ્રાઈવસી જાળવવાની ગુપ્ત ટ્રિક્સ શીખવી હતી. તાલીમ પામેલા આ 113 વિદ્યાર્થીઓ હવે પોતાની કોલેજમાં અન્ય મિત્રોને અને આસપાસના લોકોને જાગૃત કરશે. ગેમ અને કેસ સ્ટડી દ્વારા સ્માર્ટ લર્નિંગ નોડલ ઓફિસર ડૉ. હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ આ તાલીમ માત્ર લેક્ચર બનીને ન રહી વિદ્યાર્થીઓ માટે સાયબર સિક્યુરિટી ગાર્ડ બનવા માટેની તાલીમ જેવો અહેસાસ કર્યો હતો. આ તાલીમમાં 58 કોલેજના 113 વિદ્યાર્થીઓ જોડાયા હતા. ડિજિટલ એરેસ્ટથી ડરશો નહીં, આ રીતે બચો આજકાલ સીબીઆઈ કે પોલીસના નામે વીડિયો કોલ કરી લોકોને ડરાવી ‘ડિજિટલ એરેસ્ટ’ કરવાની છેતરપિંડી વધી છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર ધરપકડ કરતી નથી. આવા સમયે ગભરાવાને બદલે તાત્કાલિક સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરવો. મોબાઈલ પર આવતા શંકાસ્પદ મેસેજ કે લિંક પર ક્લિક ન કરવું એ જ સુરક્ષા છે.

29 C