SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

RMCના સેનેટરી સબ ઇન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા:સફાઈ કામદારની રજા સરભર કરવાના બદલામાં રૂ.2 હજારની માંગણી કરી પ્રથમ 1000 બાદ આજે બાકીના 1000 સ્વીકારતા ACBના હાથે ઝડપાયા

રાજકોટ મહાનગર પાલિકાના વર્ગ 3ના સેનેટરી સબ ઇન્સ્પેકટર રૂપિયા 1000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે. વોર્ડ નંબર 17માં ફરજ બજાવતા જીતેન્દ્ર ગડીયલએ સફાઈ કામદાર પાસે રજાઓ સરભર કરવા માટે રૂપિયા 2000ની માંગણી કરી હતી જે પૈકી રૂપિયા 1000 17.01.2026ના રોજ સ્વીકારી બાકી રહેતી રકમ રૂપિયા 1000 આજ રોજ સ્વીકારતા ACBના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા જેથી ACBએ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી ઉપરાંત અન્ય સફાઈ કામદારોએ પણ અગાઉ અધિકારીને રૂપિયા આપેલ હોવાના પુરાવા એસીબીને આપવામાં આવ્યા છે ત્યારે આરોપી દ્વારા અત્યાર સુધી કેટલી લાંચની રકમ સ્વીકાર કરવામાં આવેલ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી આ કેસમાં ફરીયાદીની ઓકટોબર-નવેમ્બર 2025ની રજા સરભર કરવા માટે આરોપી જીતેન્દ્ર ગડીયલએ રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી અને જો લાંચની રકમ ન આપે તો નોકરીમાં હેરાન પરેશાન કરવા તેમજ બાકી રહેતી મળવાપાત્ર રજામાં કપાત કરવામાં આવે તેવા ડરથી તા.17.01.2026ના રોજ ફરીયાદી આરોપી જીતેન્દ્ર ગડીયલને મળી રૂ.1,000 આપ્યા હતા અને બાકીના રૂ.1,000 બે-ત્રણ દીવસમાં આપવાનું કહ્યું હતું આ સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ પણ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપી જીતેન્દ્ર ગડીયલએ ફરીયાદી સાથે વાતચીત કરી વોર્ડ નંબર 17ની અટિકા ફાટક પાસે આવેલ ઓફિસ ખાતે લાંચની રકમ રૂ.1,000 સ્વીકારી હતી જેથી તેઓ પંચોની હાજરીમાં લાંચ લેતા ઝડપાઇ જતા એસીબીએ તેની અટકાયત કરી ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય કેટલા લોકો પાસે કેટલા સમયથી કેટલી લાંચ મેળવી તે અંગે તપાસ શરૂ ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનહર પાલિકાના માત્ર આ એક ફરિયાદી નહિ પરંતુ અન્ય કેટલાક સફાઈ કામદારોએ પણ લાંચ લેતા ઝડપાયેલ સેનેટરી સબ ઇન્સ્પેકટરને જીતેન્દ્ર ગડીયલને રજાઓ સરભર કરવા તેમજ એનકેન પ્રકારે કો કારણો સર લાંચ આપી હોવાના પુરાવાઓ અંગે તપાસ ચાલી રહી છે ત્યારે હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી અન્ય કેટલા લોકો પાસે કેટલા સમયથી કેટલી રકમની લાંચ મેળવી છે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:58 pm

હિંમતનગરમાં દોરીના બદલામાં પક્ષીઘર:શિક્ષકનું અનોખું કરુણા અભિયાન, 145 કિલો દોરી એકત્રિત

હિંમતનગરમાં શિક્ષક પ્રફુલ પટેલ છેલ્લા ચાર વર્ષથી ઉત્તરાયણ પર્વ બાદ એક અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ રસ્તાઓ પર પડેલી નકામી પતંગની દોરીના બદલામાં લોકોને પક્ષીઘર, ચણ અને બર્ડ ફીડરનું વિતરણ કરે છે. આ પહેલનો મુખ્ય હેતુ પતંગની દોરીથી પક્ષીઓને થતી ઇજાઓ અટકાવવાનો છે. ઉત્તરાયણનો તહેવાર પતંગ રસિયાઓ માટે આનંદનો હોય છે, પરંતુ આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થાય છે. અનેક નિર્દોષ પક્ષીઓ પતંગની દોરીથી ઘવાય છે અથવા મૃત્યુ પામે છે. રાજ્ય સરકાર પણ પક્ષીઓને બચાવવા માટે 'કરુણા અભિયાન' ચલાવે છે. હિંમતનગરની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઈએ આ સમસ્યાનો ઉકેલ લાવવાનું બીડું ઝડપ્યું છે. ઉત્તરાયણ પછી ઝાડ પર, રસ્તાઓ પર કે ઘરના ધાબા પર પડેલી દોરીઓમાં પક્ષીઓના પગ, પાંખો કે ગળા ફસાય છે, જેના કારણે તેઓ તરફડીને મૃત્યુ પામે છે. આ સમસ્યાના નિરાકરણ માટે પ્રફુલભાઈએ વિચાર્યું કે જો લોકો પાસેથી આ દોરી એકઠી કરવામાં આવે અને બદલામાં તેમને પક્ષીઓ માટે ઉપયોગી ભેટ આપવામાં આવે, તો પક્ષીઓનો જીવ બચશે અને લોકોમાં જાગૃતિ પણ આવશે. તેમના આ અભિયાનને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ 2023માં શરૂ થયેલા આ અભિયાનમાં પ્રથમ વર્ષે 40 કિલોથી વધુ દોરી એકત્રિત થઈ હતી. બીજા વર્ષે 30 કિલો, ત્રીજા વર્ષે 40 કિલો અને આ વર્ષે 34 કિલો દોરી એકત્રિત કરવામાં આવી છે. આમ, છેલ્લા ચાર વર્ષમાં કુલ 145 કિલો જેટલી જીવલેણ દોરી પર્યાવરણમાંથી દૂર કરીને તેમણે અબોલ પક્ષીઓને નવજીવન આપ્યું છે. અગાઉના વર્ષોમાં એકત્રિત થયેલી દોરીને સળગાવીને નષ્ટ કરવામાં આવતી હતી. જોકે, દોરી સળગાવવાથી વાયુ પ્રદૂષણ ફેલાય છે તે ધ્યાનમાં રાખીને, પ્રફુલભાઈ આ વર્ષે દોરીને સળગાવવાને બદલે તેનું રિસાયક્લિંગ કરી ફરીવાર ઉપયોગમાં લઈ શકાય તેવા ઉપાયો શોધી રહ્યા છે. આ પહેલ પર્યાવરણની જાળવણી માટે પણ મહત્વપૂર્ણ છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:57 pm

વાસણાની ધ બ્રાઇટ સ્કૂલમાં 25મો વાર્ષિક રમતોત્સવ:ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતાઓને ઈનામ વિતરણ

ધ બ્રાઇટ સ્કૂલ, વાસણા (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓનો ૨૫મો વાર્ષિક રમતોત્સવ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ, આત્મવિશ્વાસ અને ટીમ ભાવના વિકસાવવાનો હતો. રમતોત્સવનો પ્રારંભ અર્જુન, અશોક, પ્રતાપ અને શિવાજી એમ ચાર હાઉસ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટથી થયો. ત્યારબાદ રમતોત્સવની જ્યોત પ્રગટાવવામાં આવી અને વિદ્યાર્થીઓએ રમતભાવના તથા નિયમોના પાલન માટે શપથ લીધા. શાળાના પ્રમુખ સૌમિલ શાહે રમતોત્સવને સત્તાવાર રીતે ખુલ્લો જાહેર કર્યો. આ કાર્યક્રમમાં ફ્રી હેન્ડ ડ્રિલ અને ઝુંબા નૃત્ય જેવી આકર્ષક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. નાના વિદ્યાર્થીઓએ આ પ્રસ્તુતિઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો હતો. રમતોત્સવમાં માર્કર બેલેન્સિંગ, ઝીગ-ઝેગ રનિંગ, મૂન વોક, લેમન એન્ડ સ્પૂન રેસ, 50 મીટર દોડ, હર્ડલ રેસ અને સેક રેસ જેવી વિવિધ મેદાની સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની રમતકુશળતાનું પ્રદર્શન કર્યું. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ અને આચાર્યા દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળા વ્યવસ્થાપન, શિક્ષકવૃંદ, રમત શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોને બિરદાવવામાં આવ્યા. સુવ્યવસ્થિત આયોજનને કારણે આ રમતોત્સવ નાના વિદ્યાર્થીઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:57 pm

ગોત્રીમાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત:કારચાલક ટક્કર મારી ગલીમાં ગાડી ભગાવી ફરાર, ફરાર કારચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માગ

વડોદરા શહેર અને અકસ્માત એકબીજાના પર્યાય બન્યા હોય તેમ વધું એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહરેના ગોત્રી પોલીસ સ્ટેશન હદમાં ગોત્રી તળાવ પાસે આવેલી પાણીની ટાંકી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. મૃતક મહિલાનું નામ અમરીતા પ્રજાપતિ તરીકે થઈ છે અને ગોત્રી પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. કારચાલક મહિલાને ફૂલઝડપે ટક્કર મારી ફરારપોલીસ અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, અમૃતાબેન રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક કારચાલકે પૂરઝડપે આવીને તેમને ટક્કર મારી હતી. અકસ્માત ગાયત્રી સ્કૂલની બાજુમાં, સ્મશાન રોડ પર બન્યો હતો. ટક્કર બાદ કારચાલકે કારને સામેની ગલીમાં ભગાવીને ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળે લોકો ભેગા થયા અને મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. અકસ્માત સર્જનાર વાહનચાલકની ગોત્રી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને ફરાર કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 'અમે હોસ્પિટલ લઈ ગયા પણ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું'મૃતક અમૃતાબેનના પતિ રામનયનભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, મારી પત્ની ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી પૂરઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી અને કારચાલક તરત જ ફરાર થઈ ગયો હતો. અમે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત થયું હતું. ફરાર કારચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માગઅન્ય પરિવારજન પ્રેમપ્રકાશ પ્રજાપતિએ કહ્યું, અમારી એક જ માગ છે કે પોલીસ આ મામલે કડક તપાસ કરે અને અકસ્માત સર્જનારને વહેલી તકે પકડીને કાયદેસરની કડક કાર્યવાહી કરે અને અમને ન્યાય મળે તેવી આશા છે. આ મામલે ગોત્રી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:54 pm

બાપુનગરમાં 21 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન:શ્રી હરદાસ બાપુ ટ્રસ્ટ દ્વારા 57મા સમૂહ લગ્નનું આયોજન કરાયું

બાપુનગર ખાતે શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા 18 જાન્યુઆરી, 2026ના રોજ 57મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 21 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ સમૂહ લગ્નમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રીજીતુભાઈ વાઘાણી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય કંચનબેન રાદડિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સમાજના પ્રમુખ દિલીપભાઈ કોઠીયા, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ અમદાવાદના પ્રમુખ પરસોતમભાઈ કકાણી, ટ્રસ્ટી વલ્લભભાઈ કાકડીયા સહિત અનેક ઉદ્યોગપતિઓ અને દાતાઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા દરેક દીકરીને સવા લાખ રૂપિયાનો કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:51 pm

ભાવનગરના બાળકોએ ચાઈનીઝ દોરીનો નાશ કર્યો:મકરસંક્રાંતિ પર પક્ષી-માનવ સુરક્ષા માટે જાગૃતિ અભિયાન હેઠળ આયોજન કરાયું

ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળા નંબર 56ના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે એક અનોખું જાગૃતિ અભિયાન ચલાવ્યું. બાળકોએ વિસ્તારમાંથી ચાઈનીઝ માંજા અને અન્ય જોખમી પતંગની દોરીઓ એકત્રિત કરીને તેનો નાશ કર્યો. આ અભિયાનનો મુખ્ય હેતુ પક્ષીઓ, પ્રાણીઓ અને માનવીય સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાનો હતો, કારણ કે આવી દોરીઓ અકસ્માતોનું કારણ બને છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભરતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ શિક્ષકો ભગીરથભાઈ પાલીવાલ, જયેશભાઈ બારૈયા અને મનીષાબેન પટેલે વિશેષ ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિસ્તારમાંથી માંજા એકત્ર કર્યા અને તેને શાળા પરિસરમાં એક જગ્યાએ લાવીને આગમાં સળગાવ્યા. સૌથી વધુ માંજા લાવનાર બાળકને વિશેષ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેથી અન્ય બાળકોમાં પણ આવા અભિયાનોમાં ભાગ લેવાનો ઉત્સાહ વધે. આ અભિયાન દ્વારા શાળા પરિવારે સમાજને સંદેશ આપ્યો કે તહેવારોની ઉજવણી દરમિયાન આનંદની સાથે પર્યાવરણ અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આચાર્ય ભરતભાઈ પરમારે જણાવ્યું હતું કે, આવા અભિયાનો થકી બાળકોમાં જાગરૂકતા વધે છે અને તેઓ સમાજના જવાબદાર નાગરિક બને છે. આ પ્રયાસોને વધુ પ્રસારિત કરીને અન્ય શાળાઓને પણ પ્રેરણા મળે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:50 pm

રવિશંકર મહારાજ શાળામાં ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો:સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. શાળાના આચાર્ય રોશનીબેન ટેલરે સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવકાર્યા હતા. શાળાના મહામંત્રી વર્મન દિપાલીએ કિન્નરીબેન, હાર્દિકભાઈ અને હેતલબેનનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન શાળાના શિક્ષક કિશનભાઈ ચૌધરીએ વિદ્યાર્થીનીઓને સમગ્ર શાળા પરિસરમાં આવેલા શાળા બાગ, તમામ વર્ગખંડો, વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા અવનવા પ્રોજેક્ટ્સ અને બુલેટિન બોર્ડ વિશે સમજ આપી હતી. ત્યારબાદ શાળાના શિક્ષિકા મનીષાબેન પટેલે આદર્શ પાઠ વડે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના શિક્ષિકા વર્ષાબેન પટેલ અને આરતીબેન સારંગ દ્વારા વિદ્યાર્થીઓને સોલાર સ્ટ્રીટ લાઈટ બનાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી અને સોલાર પેનલ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અલ્પાહાર બાદ શાળાના શિક્ષિકા ભૂમિકાબેન પંડ્યા તેમજ મનીષાબેન પટેલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓને રમતો રમાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રોશનીબેન ટેલરના હસ્તે રમત સ્પર્ધાના વિજેતાઓને ઈનામ તેમજ તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. આચાર્ય રોશનીબેન ટેલરે તમામ વિદ્યાર્થીનીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. યજમાન શાળા તેમજ મહેમાન શાળાના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:45 pm

રૂ. 84 લાખનાં સ્થળાંતર ખર્ચનો વિવાદ યથાવત:રાજકોટ જિ. પં. ઉપપ્રમુખે કહ્યું- તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યો પણ મને વિગતો ખબર નથી ! કાર્યપાલક ઇજનેરે કર્યું તપાસ ચાલુનું રટણ, રૂ. 30 કરોડથી વધુના

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ. 30 કરોડના કામો મંજુર, પણ ‘સ્થળાંતર ખર્ચ’ વિવાદ હજુ યથાવત છે. આજે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રૂ. 30 કરોડથી વધુના 51 જેટલા વિકાસકામોને લીલી ઝંડી આપવામાં આવી છે. જોકે, આ બેઠક માત્ર વિકાસલક્ષી નિર્ણયો માટે જ નહીં, પણ લાંબા સમયથી ચાલી રહેલા ‘સ્થળાંતર ખર્ચ’ વિવાદને કારણે પણ ચર્ચામાં રહી હતી. સત્તધીશો પાસે વિવાદ અંગે કોઈ સચોટ જવાબ ન હોવાનું સામે આવ્યું છે, જેનાથી ભ્રષ્ટાચારની આશંકાઓ વધુ ઘેરી બની છે. આ મામલે આજે જિલ્લા પંચાયત ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, રૂ. 84 લાખના સ્થળાંતર ખર્ચ અંગે તપાસ કમિટી નીમવામાં આવી હતી. જેનો રિપોર્ટ આવી ગયો છે પણ તેની વિગતો મને ખબર નથી. આમ કહીને કાર્યપાલક ઈજનેર ઉપર જવાબદારી નાખી દીધી હતી. જ્યારે કાર્યપાલક ઈજનેર એ માત્ર 19 લાખનો હિસાબ મળ્યો હોવાનું અને તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હતું. સ્થળાંતર ખર્ચ વિવાદ: સવાલોનાં ગોળ-ગોળ જવાબો સમાચારના કેન્દ્રમાં રહેલો મુખ્ય મુદ્દો ‘સ્થળાંતર ખર્ચ’નો વિવાદ છે. રૂ. 84 લાખના કથિત ખર્ચ પૈકી માત્ર રૂ. 19 લાખનો જ હિસાબ મળી શક્યો છે, જે મોટા કૌભાંડ તરફ ઇશારો કરે છે. ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તપાસ કમિટીનો રિપોર્ટ આવી ગયો છે, પરંતુ તેમને હજુ તેની પૂરી વિગતોની જાણ નથી. બાકીના બિલોની ચુકવણી હજુ થઈ નથી અને આ મુદ્દે વધુ સ્પષ્ટતા માટે જવાબદારી કાર્યપાલક ઈજનેર પર ઢોળી દીધી હતી. રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર સંજય પટેલે સ્થળાંતર ખર્ચની તપાસ વિશે માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં એજન્સીને પેવર બ્લોક અને બિલ્ડિંગના કામો પેટે રૂ. 19 લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે. આ ચૂકવાયેલા બિલો અંગેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવ્યો છે. ઉપરાંત એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા અન્ય બિલોની હાલ ચકાસણી ચાલી રહી છે જે આગામી કારોબારી સમિતિમાં મંજૂરી અર્થે મૂકવામાં આવશે. રૂ. 84 લાખના ખર્ચ સામે છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી આ તપાસ અંગે તેમણે જણાવ્યું હતું કે, જો બિલોમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે ગેરરીતિ જણાશે તો નિયમ અનુસાર કડક પગલાં લેવામાં આવશે. હાલમાં તપાસની પ્રક્રિયા ચાલુ છે અને તમામ બિલોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ આખરી અહેવાલ તૈયાર કરવામાં આવશે. આમ કૌભાંડના ગંભીર આક્ષેપો વચ્ચે સતાધીશો દ્વારા અપાયેલા આ અસ્પષ્ટ જવાબોથી વિવાદ વધુ વકર્યો છે. બીજીતરફ કાર્યપાલક ઈજનેર દ્વારા પણ રૂ. 84 લાખથી વધુના ખર્ચ સામે 3 મહિનામાં માત્ર 19 લાખના ખર્ચની જ તપાસ થઈ હોવાનો અને બાકી તપાસ ચાલુ હોવાનો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે. સાથે આશ્વાસન આપવા જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાત્રીઓ આપવામાં આવી રહી છે. ત્યારે શું આ વિવાદમાં કોઈ મોટી માછલીઓની સંડોવણી છે? તેમજ શું ખરેખર રૂ. 84 લાખનો ખર્ચ કાયદેસર છે કે કેમ, તે પ્રશ્ન હજુ યથાવત છે. કારોબારી બેઠકમાં મંજુર થયેલા વિકાસના કામો આજની કારોબારી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવેલા કુલ રૂ. 30.55 કરોડના કામોમાં મુખ્યત્વે બાંધકામ, સિંચાઈ, પશુપાલન અને આરોગ્ય વિભાગનો સમાવેશ થાય છે. જેમાં બાંધકામ શાખાનાં સૌથી વધુ રૂ. 23.10 કરોડના ખર્ચે વિવિધ કામો મંજુર થયા છે. જેમાં 12 આંગણવાડી બિલ્ડીંગ, 32 ગ્રામ પંચાયત બિલ્ડીંગ, 1 પશુ દવાખાનું અને 19 જેટલા રસ્તાઓના કામો હાથ ધરાશે. સિંચાઈ વિભાગનાં રૂ. 7.41 કરોડના ખર્ચે 12 કામો મંજુર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 કામોને વહીવટી મંજૂરી અપાઈ છે. બીજીતરફ પશુપાલન શાખા માટે રૂ. 3.10 લાખના ખર્ચે નવા કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટરની ખરીદી અને 7 નવા પશુ દવાખાનાની સ્થાપના ઉપરાંત 1 પશુ સારવાર કેન્દ્રના સ્થળાંતરને મંજૂરી અપાઈ છે. જ્યારે આરોગ્ય વિભાગ માટેનાં સ્ટાફ ક્વાર્ટર અને પેટા આરોગ્ય કેન્દ્રોના જર્જરિત મકાનોના નિકાલ (ડિસમેન્ટલ) કરવાની, બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા માટે મંજૂરી આજે કારોબારી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. આજની આ બેઠકમાં કારોબારી ચેરમેન પી. જી. ક્યાડા બીમારીના કારણે ગેરહાજર રહ્યા હતા, જ્યારે ભુપતભાઇ બોદર અને અશ્વિનાબેન ડોબરીયા પણ ગેરહાજર રહ્યા હતા. કાર્યકારી અધ્યક્ષ વિરલ પનારાએ બેઠકનું સંચાલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્થળાંતર કૌભાંડ બાબતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગરને સવાલો કરતા તેને રીતસર પરસેવો વળી ગયો હતો. સ્થળાંતર કૌભાંડ મુદ્દે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ એકબીજા પર જવાબદારીની ફેંકાફેકી કરી રહ્યા છે. અને સ્થળાંતરમાં થયેલા ખર્ચ અંગે કોઈ ચોક્કસ જવાબ જ આપવામાં આવતા નથી. ત્યારે શું જિલ્લા પંચાયતમાં બધું લોલમલોલ ચાલે છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. તેમજ શું જવાબદાર સામે કડક કાર્યવાહી થશે કે પછી ભીનુ સંકેલી લેવામાં આવશે ? તેવી વાતો ચર્ચાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:42 pm

ઓમ મુરુગા સ્કૂલમાં પોંગલ પર્વની ઉજવણી:વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં લીધો ભાગ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

અમદાવાદના હાટકેશ્વર સ્થિત ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં 18 જાન્યુઆરી, 2026ના રોજ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ તહેવાર પોંગલની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. પોંગલ પર્વ પાકોત્સવ અને કૃતજ્ઞતાનું પ્રતીક છે, જે પ્રકૃતિ તથા અન્નદાતા પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ભાગ લીધો હતો. શાળા પરિસરમાં રંગોળી સ્પર્ધા, પોંગલ બનાવવાની વિધિનું નિદર્શન, તમિલ સંસ્કૃતિ અંગે માહિતીસભર પ્રવચનો અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારતની વિવિધ સંસ્કૃતિઓ અને એકતા વિશે જાગૃત કરવાનો હતો.શાળાના આચાર્ય અને શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને પોંગલ તહેવારનું મહત્વ સમજાવ્યું હતું અને ભારતીય પરંપરાઓનું સન્માન કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના સમાપ્તિ બાદ, ઉપસ્થિત સૌએ પરંપરાગત પોંગલ પ્રસાદનો સ્વાદ માણ્યો હતો.આ પ્રકારની સાંસ્કૃતિક ઉજવણીઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક જાગૃતિ, સહઅસ્તિત્વની ભાવના અને ભારતીય મૂલ્યોનો વિકાસ થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:42 pm

વેપારીની પત્નીને DRIની બીક બતાવી પૂર્વ કર્મચારીએ લૂંટ ચલાવી:તપાસના નામે ડરાવી દાગીના લોકરમાં મૂકાવ્યા, ચાવી ખોવાયાનું નાટક કરી દાગીના લઈ ફરાર

સુરતના અલથાણ વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા વેપારી સંજય મહેશ્વરીના ત્યાં આશરે 9 વર્ષ સુધી કામ કરનાર પૂર્વ કર્મચારી લવકુશ ઉર્ફે ચંદન શુક્લાએ જ આખા પરિવારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. આરોપીએ વેપારીની ગેરહાજરીમાં તેની પત્ની દીપ્તિબેનનો વિશ્વાસ જીતી લીધો હતો. વર્ષો સુધી સાથે કામ કર્યું હોવાથી પરિવાર તેના પર આંધળો વિશ્વાસ કરતો હતો, જેનો લવકુશે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને ગેરલાભ ઉઠાવ્યો અને સમગ્ર પરિવારને આર્થિક તેમજ માનસિક મુશ્કેલીમાં મૂકી દીધો છે. જો દાગીના ઘરમાં રહેશે તો અધિકારીઓ તેને જપ્ત કરી લેશેઅલથાણ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે વેપારી સંજયભાઈ પર DRI વિભાગની તપાસ આવી ત્યારે લવકુશે દીપ્તિબેનને ડરાવવાનું શરૂ કર્યું હતું. તેણે ખોટી વાતો કરી કે, જો દાગીના ઘરમાં રહેશે તો અધિકારીઓ તેને જપ્ત કરી લેશે અને સંજયભાઈ વધુ મોટી મુસીબતમાં ફસાશે. તપાસના ડરથી ફફડી ગયેલા દીપ્તિબેનને તેણે સલાહ આપી કે દાગીના કોઈ સુરક્ષિત લોકરમાં મૂકી દેવા જોઈએ. એટલું જ નહીં, તેણે એવું પણ સમજાવ્યું કે જો દીપ્તિબેન પોતાના નામે લોકર ખોલાવશે તો તે પણ તપાસના દાયરામાં આવી જશે, તેથી તેણે દાગીના પોતાના નામે લોકરમાં રાખવા મનાવી લીધા હતા. આરોપીએ માસ્ટર માઈન્ડની જેમ ખેલ પાડ્યો હતોઆરોપી લવકુશે વેસુ વિસ્તારના એક સેફ ડિપોઝિટ વોલ્ટમાં પોતાના નામે લોકર ખોલાવ્યું અને દીપ્તિબેન તથા તેમની સાસુના લાખોની કિંમતના સોનાના દાગીના તેમાં મુકાવી દીધા. દાગીના મુકાયા બાદ આરોપીએ માસ્ટર માઈન્ડની જેમ ખેલ પાડ્યો હતો. તેણે લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક કરી મેનેજમેન્ટ પાસે બીજું લોક નંખાવ્યું અને તેની ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. આમ, દાગીના લોકરમાં હોવા છતાં તેની સત્તાવાર ચાવી અને એક્સેસ માત્ર લવકુશ પાસે જ રહી ગયું હતું, જેની જાણ પરિવારને ઘણી મોડી થઈ હતી. દાગીના પરત કરવાના બદલામાં 54 લાખની ખંડણી માગીજ્યારે દીપ્તિબેનને શંકા ગઈ અને તેમણે લોકર જોવા અથવા દાગીના પરત લેવાની વાત કરી ત્યારે લવકુશનો અસલી ચહેરો સામે આવ્યો હતો. તે નોકરી છોડીને ફરાર થઈ ગયો અને ફોન પર ધમકીઓ આપવા લાગ્યો હતો. તેણે દાગીના પરત કરવાના બદલામાં રૂપિયા 54 લાખની માતબર રકમની ખંડણી માંગી હતી. જો આ પૈસા આપવામાં નહીં આવે તો તેણે વેપારીના દીકરાઓને જાનથી મારી નાખવાની પણ ઉઘાડી ધમકી આપી હતી. આ સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને અંતે પોલીસનો સહારો લેવાનું નક્કી કર્યું હતું. કોલ ડિટેલ્સના આધારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાઆ મામલે દીપ્તિબેને અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લવકુશ ઉર્ફે ચંદન બજરંગશરણ શુક્લા વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ તે ફરાર છે. પોલીસે લોકરના CCTV અને કોલ ડિટેલ્સના આધારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:41 pm

BBNG ગ્લોબલ દ્વારા વડોદરામાં પરિવર્તન 2026 કર્ટન રેઝર યોજાયું:પુણેમાં યોજાનાર રાષ્ટ્રીય પરિષદ માટે બ્રાહ્મણ ઉદ્યોગસાહસિકોમાં ઉત્સાહ

BBNG ગ્લોબલ દ્વારા વડોદરામાં 'પરિવર્તન 2026 કર્ટન રેઝર' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટ હોટેલ ઇકો સત્વા, સામા–સાવલી રોડ ખાતે યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યાપારિક નેટવર્ક સંસ્થા BBNG ગ્લોબલ બ્રાહ્મણ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના મોટી સંખ્યામાં બ્રાહ્મણ વ્યવસાયિક ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાહ્મણ વ્યવસાય સમુદાયને સંગઠિત કરીને વ્યવસાયિક ઉન્નતિ અને પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઇવેન્ટ પુણેમાં યોજાનાર 'પરિવર્તન 2026' રાષ્ટ્રીય પરિષદ માટે મજબૂત પાયો નાખવા માટે હતી. BBNG ગ્લોબલનું ધ્યેય બ્રાહ્મણ સમુદાયના વ્યવસાયિક વિકાસ, વિસ્તરણ અને સ્થાયિત્વ માટે વિશ્વાસ આધારિત સંબંધો અને સંરચિત નેટવર્કિંગ દ્વારા સહાય પૂરી પાડવાનું છે. સંસ્થા 'સમર્થ બ્રાહ્મણ, સંપન્ન બ્રાહ્મણ અને સમૃદ્ધ બ્રાહ્મણ'ના 3S સિદ્ધાંતમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે, જે BBNGના તમામ કાર્યક્રમોનો આધાર છે. કાર્યક્રમ દરમિયાન, BBNG વડોદરા ચેપ્ટરની નેતૃત્વ ટીમ અને પુણે સ્થિત હેડ ઓફિસના પ્રતિનિધિઓએ 'પરિવર્તન' પહેલની રૂપરેખા રજૂ કરી. 'પરિવર્તન' એ રાષ્ટ્રીય સ્તરની સંરચિત વ્યવસાયિક રૂપાંતરણ પહેલ છે. આ પહેલ શિસ્તબદ્ધ નેટવર્કિંગ, નૈતિક વ્યવસાય, ક્રોસ-ચેપ્ટર સહયોગ અને દીર્ઘકાલીન મૂલ્ય સર્જન પર કેન્દ્રિત છે, જેનો હેતુ બ્રાહ્મણ વ્યવસાયિકોને એક મંચ પર લાવવાનો છે. પુણે હેડ ઓફિસની 'પરિવર્તન' કોર ટીમની હાજરીએ કાર્યક્રમને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પૂરો પાડ્યો. આનાથી તમામ ચેપ્ટરોમાં એકસરખા ધોરણો અને વ્યાપકતાનું મહત્વ રેખાંકિત થયું. આ કાર્યક્રમ દરમિયાન નવા સભ્યો પણ BBNG સાથે જોડાયા હતા. તેમણે પુણે ખાતે યોજાનાર 'પરિવર્તન 2026' પરિષદમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વક્તાઓ અને મહેમાનો દ્વારા BBNG વડોદરા ચેપ્ટરની વિશેષ પ્રશંસા કરવામાં આવી. વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં કાર્યરત સભ્યોની હાજરીએ નેટવર્કિંગ અને પરસ્પર સહયોગની સાચી શક્તિ દર્શાવી. આ પ્રકારના સહકાર અને વિશ્વાસને કારણે BBNG એક વિશ્વસનીય અને અસરકારક વ્યવસાયિક પ્લેટફોર્મ તરીકે વિકસી રહ્યું છે. BBNG વડોદરા ચેપ્ટરે 'પરિવર્તન 2026'ની ભવ્ય સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. તેમણે આગામી વર્ષોમાં ગુજરાતમાં 'પરિવર્તન' કાર્યક્રમ આયોજિત કરવાની દૃઢ ભાવના પણ વ્યક્ત કરી. BBNGના રાષ્ટ્રીય નેતૃત્વના દ્રષ્ટિવાન આયોજન અને પૂર્વ તૈયારી માટે પણ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી. જે ઉદ્યોગસાહસિકો સંરચિત, નૈતિક અને સહાયક વ્યવસાયિક નેટવર્ક દ્વારા પોતાનો વ્યવસાય વિસ્તૃત કરવા ઈચ્છે છે, તેમને BBNG સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:40 pm

માનવ મેઘ સંસ્થાએ સિવિલ હોસ્પિટલમાં સેવા આપી:મકરસંક્રાંતિના પર્વ પર લાડુ, ચીકી, ઊંધિયું, જલેબી સહિતની વાનગીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે માનવ મેઘ સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા અંતર્ગત પાવ, તલના લાડુ, મમરાના લાડુ, તલની ચીકી, ઊંધિયું, જલેબી અને પૂરી જેવી વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના 'સિંઘમ' તરુણભાઈ બારોટ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શંકરભાઈ, નરેન્દ્રસિંહ સોલંકી, હર્ષકુમાર સોલંકી, વિવેકભાઈ પટેલ અને જયંતિભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ પણ સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:39 pm

સુરત જિલ્લા ન્યાયાલય માટે જમીન ફાળવવા સી.આર. પાટીલને રજૂઆત:મરઘા કેન્દ્રની જમીન અને નોટરીના પ્રશ્નો અંગે વકીલ મંડળના પ્રમુખની દિલ્હીમાં બેઠક

સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સુરત જિલ્લા ન્યાયાલયના વિસ્તરણ માટે મરઘા કેન્દ્રની જમીન ફાળવવાની માંગણી કરવાનો હતો. વકીલોએ રજૂઆત કરી હતી કે કોર્ટની કામગીરી અને પક્ષકારોની સુવિધા માટે આ જમીન અત્યંત જરૂરી છે. જમીન ફાળવણીના વિષય પર સત્વરે હકારાત્મક નિર્ણય લેવાશે- પાટીલવકીલ મંડળના જણાવ્યા મુજબ આ રજૂઆત બાદ સી.આર. પાટીલે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. તેમણે પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે તેઓ આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી સાથે રૂબરૂ વાત કરશે અને જમીન ફાળવણીના વિષય પર સત્વરે હકારાત્મક નિર્ણય લેવા માટે જણાવશે. મંત્રીના આ આશ્વાસનથી વકીલ મંડળમાં નવી આશા જન્મી છે અને લાંબા સમયથી પડતર આ પ્રશ્નનો ઉકેલ આવવાની શક્યતા વધી છે. નોટરીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈજમીન ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા નિમવામાં આવેલા નોટરીઓના વિવિધ પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે સી.આર. પાટીલે તાત્કાલિક પગલાં લેતા તેમના અંગત સચિવને બોલાવીને કાયદા મંત્રીને ભલામણ કરવા માટે સૂચના આપી હતી. નોટરીઓના વ્યાવસાયિક પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રીએ દાખવેલી તત્પરતાને વકીલ મંડળે આવકારી હતી. સુરતના વકીલો અને પક્ષકારો માટે સારા સમાચાર મળવાની શક્યતાઆ મુલાકાત દરમિયાન મંડળના મંત્રી મુકુંદ રામાણી, વરિષ્ઠ વકીલ કલ્પેશ દેશાઈ, માજી સરકારી વકીલ જતિન ગાંધી તેમજ વકીલ વિરાજ સુર્વે અને ભૂષણ વાનખેડે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મુલાકાત સફળ રહી હોવાનું જણાવાયું છે. સાથે જણાવ્યું છે કે, આગામી ટૂંક સમયમાં સુરતના વકીલો અને પક્ષકારો માટે આ મામલે કોઈ સારા સમાચાર મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:39 pm

સુરતની શાળાઓમાં વર્મીકમ્પોસ્ટ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓ-શિક્ષકોને જૈવિક ખાતર બનાવવાની પ્રક્રિયા શીખવાઈ

સુરતની નગર પ્રાથમિક શાળા નં. 153, 154, 149, 105 અને સુમન-4 માં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે વર્મીકમ્પોસ્ટ (કોમ્પોસ્ટ ખાતર) વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, સુરત દ્વારા દત્તક લેવાયેલી આ શાળાઓમાં 18 જાન્યુઆરી, 2026 ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્મીકમ્પોસ્ટ નિષ્ણાત સુનિલ ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બાળકોને જૈવિક કચરાનો ઉપયોગ કરીને ખાતર કેવી રીતે બનાવવું, વર્મીકમ્પોસ્ટની પ્રક્રિયા અને તેના પર્યાવરણલક્ષી ફાયદાઓ વિશે સરળ અને રસપ્રદ રીતે સમજાવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને જૈવિક ખેતી અંગેની સમજણ આપવાનો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:37 pm

ગોધરામાં ટ્રક-ઈકો કાર અકસ્માત, સુરતની મહિલાનું મોત:ઉદયપુરથી પરત ફરતા પરિવારના બે સભ્યો ઘાયલ

ગોધરાના બામરોલી રોડ ચોકડી પાસે આજે ટ્રક અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સુરતના એક પરિવારની મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે સભ્યો ઘાયલ થયા છે. સુરતના રહેવાસી અમૃતભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર રાજસ્થાનના ઉદયપુર ખાતે તબીબી સારવાર કરાવીને પોતાની ઈકો કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ગોધરાના બામરોલી રોડ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો કારને ભારે નુકસાન થયું હતું. કારમાં સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મહિલાની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે વડોદરા લઈ જતી વખતે હાલોલ નજીક રસ્તામાં જ તેમનું અવસાન થયું હતું. આ ઘટનામાં કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી છે. હાલમાં બંને ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:22 pm

રાજ્યના 15 ગ્રાઉન્ડ પર 21મીથી ફિઝિકલ ટેસ્ટ:10 લાખ ઉમેદવારો ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે, ગ્રાઉન્ડ ઈન્ચાર્જ તરીકે SP કક્ષાના અધિકારીને નિયુક્ત કરાયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડરની 858 અને લોકરક્ષક (Lokrakshak) કેડરની 12,733 જગ્યાઓ સહિત કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. આ ભરતી અંતર્ગત ઉમેદવારોને રાજ્યના 15 નિર્ધારિત શહેરો, જિલ્લાઓ, SRP જૂથો અને તાલીમ કેન્દ્રોમાં શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) માટે 21 જાન્યુઆરી 2026થી બોલાવવામાં આવશે. પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 13 માર્ચ 2026 સુધી યોજાશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે. SP કક્ષાના અધિકારીના ગ્રાઉન્ડ ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કરાયાદરેક ગ્રાઉન્ડ પર નાયબ પોલીસ મહાનિરીક્ષક અથવા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમની મદદ માટે 90થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. ઉપરાંત, દરેક ગ્રાઉન્ડની દેખરેખ માટે DIGP અથવા IGP કક્ષાના અધિકારીને સુપરવિઝન અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. દોડ કસોટી દરમિયાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની નજર હેઠળ યોજાશે. શારીરિક માપ કસોટીમાં પુરુષ ઉમેદવારોની ઊંચાઈ અને છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઊંચાઈની માપણી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયોતમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. શારીરિક કસોટીના માપદંડ મુજબ પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મિનિટમાં, મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે. ઊંચાઈના માપદંડ મુજબ અનુસૂચિત જનજાતિ (ST)ના પુરુષ ઉમેદવારો માટે 162 સે.મી. અને અન્ય માટે 165 સે.મી. ઊંચાઈ ફરજિયાત છે. મહિલા ઉમેદવારોમાં ST માટે 150 સે.મી. અને અન્ય માટે 155 સે.મી. ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. તમામ પુરુષ ઉમેદવારોની છાતીનું ન્યૂનતમ માપ 79 સે.મી. અને ફુલાવા સાથે 84 સે.મી. હોવું જરૂરી છે. PSI કેડર માટે ઉમેદવાર પાસે સ્નાતક અથવા સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે, જ્યારે લોકરક્ષક કેડર માટે ધોરણ-12 અથવા સમકક્ષ લાયકાત રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:16 pm

શિક્ષાપત્રી મંથન:જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરે તે સાચો બુદ્ધિશાળી

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે, તે જ સાચો બુદ્ધિશાળી છે. તેમણે આ વાત શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી પ્રસંગે યોજાયેલા 'શિક્ષાપત્રી મંથન' કાર્યક્રમમાં કહી હતી.સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્પષ્ટતા કરી કે, મોટાભાગના લોકો પોતાને બુદ્ધિશાળી માને છે, પરંતુ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ બુદ્ધિશાળી તે છે જે મોક્ષ સંબંધી કાર્ય સિદ્ધ કરી લે. બુદ્ધિનું ફળ એ જ છે કે જે કાર્ય માટે મનુષ્ય જન્મ મળ્યો છે, તે કાર્ય કુશળતાપૂર્વક પૂર્ણ કરવું. તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના શિક્ષાપત્રી ગ્રંથનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભક્તિ અને સત્સંગ વિનાનો ગમે તેવો વિદ્વાન માણસ પણ અધોગતિને પામે છે. આ ઉપદેશ મનુષ્ય જીવનના અંતિમ લક્ષ્ય તરફ ધ્યાન દોરે છે. આ સંદર્ભે એક પ્રેરણાદાયી પ્રસંગ વર્ણવતા તેમણે જણાવ્યું કે, જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન માંગરોળ પધાર્યા હતા, ત્યારે કબો નામનો એક વ્યક્તિ ધૂળનો વેપાર કરતો હતો, જેનું મગજ છટકી ગયું હતું. આ જોઈને શ્રી હરિએ કહ્યું હતું કે, જે ભગવાનનું ભજન નથી કરતો તે આ કબા જેવા ગાંડા જ છે.આમ, સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી ભગવાનનું ભજન કરીને મોક્ષ પ્રાપ્ત કરવો એ જ બુદ્ધિનું સાચું ફળ છે અને જીવનનો પરમ ઉદ્દેશ્ય છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:16 pm

24 કલાકમાં ચાર બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:જુનાગઢ માંથી 3 દિવસમાં 4 વાહનો ચોરનાર તસ્કર કેયુર જેઠવા મુદ્દામાલ સાથે ઝડપાયો, 'એ' ડિવિઝન પોલીસની મોટી સફળતા

જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વાહન ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે 'એ' ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે માત્ર 24 કલાકમાં જ અગાઉ વણઉકેલાયેલા વાહન ચોરીના 4 ગુનાઓ ડિટેક્ટ કરી એક આરોપીને કુલ રૂ.1,70,000 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી કેયુર જેઠવાએ છેલ્લા ત્રણ દિવસમાં શહેરના દાતાર રોડ, વાંઝાવાડ અને ગણેશનગર જેવા વિસ્તારોમાંથી એક સુઝુકી બર્ગમેન, એક એક્ટિવા અને બે સ્પ્લેન્ડર બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તમામ વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયો આરોપી ​મિલકત વિરુદ્ધના ગુનાઓ રોકવા રેન્જ આઈજી નિલેષ જાંજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ એ-ડિવિઝન પીઆઈ વી.જે. સાવજ અને પીએસઆઈ વાય.એન. સોલંકીની ટીમ કાર્યરત હતી. દરમિયાન બી-ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ હુંબલને બાતમી મળી હતી કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં એક્ટિવા દોરીને ચિતાખાના ચોક તરફ જઈ રહ્યો છે. આ હકીકતને આધારે સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી અમરજ્યોત એપાર્ટમેન્ટ, નાગર રોડ પર રહેતા આરોપી કેયુર સંદીપભાઈ જેઠવાને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. ​ત્રણ દિવસમાં ચાર વાહનો પર હાથફેરો કર્યો ​પોલીસની આગવી ઢબે પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત કરી હતી કે તેની પાસે રહેલું એક્ટિવા તેણે વાંઝાવાડ શાક માર્કેટ પાસેથી ચોર્યું હતું. આ ઉપરાંત, તેણે છેલ્લા ત્રણ દિવસમાં અન્ય ત્રણ વાહનો પણ ચોર્યા હોવાનું સ્વીકાર્યું હતું, જે તેણે પોતાના ઘરે છુપાવી રાખ્યા હતા.પોલીસ તપાસમાં તેના ઘરેથી સુઝુકી બર્ગમેન કિંમત રૂ. 40,000 ,હોન્ડા એક્ટિવારૂ. 50,000, બે હીરો સ્પ્લેન્ડર કિંમત રૂ. 80,000 મળી કુલ 1,70,000 લાખનો મુદામાલ કબજે કર્યો છે ​આ કામગીરીમાં પીઆઈ વી.જે. સાવજ, પીએસઆઈ વાય.એન. સોલંકી, એએસઆઈ પંકજભાઈ સાગઠીયા, તેમજ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ, અનકભાઈ, હિતેશભાઈ, જીજ્ઞેશભાઈ, નીતિનભાઈ, જયેશભાઈ અને નરેન્દ્રભાઈ જોડાયા હતા. બી-ડિવિઝન પોલીસના મનીષભાઈ હુંબલની સતર્કતાને કારણે આ આખું રેકેટ પકડવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:16 pm

ગાંધીનગરનો શખ્સ 6 તલવારો સાથે ઝડપાયો:નવસારીના ખડસુપા ઓવરબ્રિજ પાસે BNS કલમ હેઠળ ગુનો દાખલ

નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના જાહેરનામાના અમલ દરમિયાન, નવસારી ગ્રામ્ય પોલીસે છ તલવારો સાથે ગાંધીનગરના એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી SOG પોલીસના ભક્તેશ બોરસે અને રોહિત ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ખડસુપા ઓવરબ્રિજથી સાતેમ નાગધરા તરફ જતા રોડ પર એક શંકાસ્પદ વ્યક્તિ લાલ મ્યાનવાળી તલવાર સાથે ફરતો જોવા મળ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ગોવિંદભાઈ દિલોચંદ લુહાર (ઉંમર ૩૨, રહે. કલ્યાણપુરા, કલોલ, જિ. ગાંધીનગર) જણાવ્યું હતું. તેની પાસેથી લાલ રંગના મ્યાનમાં રાખેલી કુલ છ લોખંડની તલવારો મળી આવી હતી. જપ્ત કરાયેલી તલવારો ૨૮ ઇંચ લાંબી અને ૧.૫ ઇંચ પહોળી હતી, જેના પર ૭ ઇંચનો સોનેરી હાથો (મુઠ) હતો. આ તલવારો પર હિન્દીમાં 'સીરોહી કી પ્રસિધ્ધ તલવાર ૩૦ સાલકી ગેરંટી' લખેલું હતું. આ છ તલવારોની અંદાજિત કિંમત ₹૧૮૦૦/- આંકવામાં આવી છે. આરોપી ગોવિંદ લુહાર હથિયાર રાખવા અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો, જે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:14 pm

પાટણ-સિદ્ધપુરમાં 31,000થી વધુ મતદારોના નામ કમી કરવા અરજીઓ:ધારાસભ્યએ વહીવટી તંત્રને રજૂઆત કરી, ખોટા અરજદારો સામે કાર્યવાહીની માગ

પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના નામ કમી કરવા માટે હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ (ફોર્મ-7) રજૂ કરવામાં આવી છે. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તેને લોકશાહીના મતાધિકારને દૂષિત કરવાનો પ્રયાસ ગણાવી કલેક્ટરને રજૂઆત કરી છે. બીજી તરફ, વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે તમામ અરજીઓનું ફિલ્ડ વેરિફિકેશન અને સુનાવણી બાદ જ યોગ્ય નિર્ણય લેવાશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ વિધાનસભા બેઠક પર મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે કુલ 6,532 વાંધા અરજી મળી છે. સિદ્ધપુર વિધાનસભામાં પણ 25,000થી વધુ આવી અરજીઓ રજૂ થઈ હોવાનું ધારાસભ્યએ જણાવ્યું છે. આમ, બંને બેઠક પર કુલ 31,000થી વધુ અરજીઓ સામે આવી છે. પાટણના પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે વિગતો આપતા જણાવ્યું હતું કે, પાટણ વિધાનસભાની 6,532 અરજીઓ પૈકી પાટણ શહેરની 4,622, સરસ્વતી તાલુકાના ગામોની 954 અને પાટણ ગ્રામ્ય વિસ્તારની 956 અરજીઓનો સમાવેશ થાય છે. વહીવટી પ્રક્રિયા મુજબ, આ તમામ અરજીઓનું ફિલ્ડ વેરિફિકેશન કરવામાં આવશે. જો કોઈ મતદારનું નામ કમી કરવા પાત્ર જણાશે, તો સંબંધિત વ્યક્તિને નોટિસ આપી, સુનાવણી યોજીને જ આગળની કાર્યવાહી કરાશે. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદારોના અધિકારો પર તરાપ મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે એક મહિના પહેલા પાટણ અને અન્ય વિસ્તારોમાં બીએલઓની મીટિંગમાં ભાજપના હોદ્દેદારો દ્વારા ચોક્કસ સમાજ અને કોંગ્રેસના સમર્થકોના નામ કમી કરવા સૂચના અપાઈ હતી. ધારાસભ્ય પટેલે વધુમાં ઉમેર્યું કે આ મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું વ્યવસ્થિત કાવતરું છે. તેમણે માંગ કરી કે જો ખોટા વાંધા રજૂ કરનારાઓ સામે વહીવટી તંત્ર પોલીસ કાર્યવાહી નહીં કરે, તો તેઓ કોર્ટ અથવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે. સ્થાનિકોએ પણ આ પ્રક્રિયા સામે રોષ વ્યક્ત કર્યો છે. રણુજ ગ્રામ પંચાયતના સદસ્ય મહંમદ રફીક મોમીને જણાવ્યું કે તેમના વોર્ડ નંબર 1 માં 96 મતદારો સામે વાંધા અરજીઓ આવી છે, જેમાં અરજદારના મોબાઈલ નંબર પણ ખોટા લખાયા છે. વદાણી (લક્ષ્મીપુરા) ના અઝહરભાઈ માણસિયાએ આક્ષેપ કર્યો કે તેમના બૂથ નંબર 40 માં લગભગ 50% નામો કમી કરવા માટે વાંધા અરજીઓ અપાઈ છે. મતદારોએ માંગ કરી છે કે વહીવટી તંત્રે વાંધો રજૂ કરનાર વ્યક્તિને તેમની સામે લાવીને જવાબ આપવાની તક આપવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 3:08 pm

વાપીની જવેલર્સ શોપમાંથી સેલ્સમેન 14.40 લાખના દાગીના ચોરી ભાગ્યો:સુરતની નિયોલ ચેક પોસ્ટ પાસે ઝડપાયો, પૈસાદાર બનવા સાત મહિનાથી કરેલી ચોરીનો ભાંડો ફૂટ્યો

વાપી જી.આઈ.ડી.સી.માં આવેલી મહારાણા જવેલર્સમાં સેલ્સમેનની નોકરી દરમ્યાન છેલ્લાં સાત મહિનાથી ટુકડે ટુકડે સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 14.40 લાખની મતા વતનમાં વગે કરવા નીકળેલો રાજસ્થાની યુવકનો ભાંડો સુરતનાં નિયોલ ચેક પોસ્ટ પાસે સારોલી પોલીસે ફોડી નાંખ્યો હતો. સુરતમાં ઝડપાયા બાદ પોતાને ત્યાં દસ વર્ષથી નોકરી કરતો શખ્સની કરતૂતને લઇ માલિક પ્રકાશ કર્નાવટે વાપી જી. આઇ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નિયોલ ચેક પોસ્ટ પાસેથી મૂળ રાજસ્થાનનો શખ્સ ઝડપાયોસારોલી પોલીસ મથકનાં ઇમ્પેક્ટર એસ.આર. વેકરીયા અને ટીમે નિયોલ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. એક શખ્સ બેગમાં સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ સાથે પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. જેને પગલે પવનકુમાર વાષારામ ગુર્જર (રહે. ન્યૂ બીટાઈપ કોલોની, ગુંજન, વાપી જી.આઈ.ડી.સી., મૂળ રાજસમન્દ, રાજસ્થાન)ને અટકાયતમાં લીધો હતો. 1.40 લાખ રૂ. રોકડ સહિતની 14.40 લાખની મતા મળીબેગની ઝડતી દરમ્યાન સોનાની રજકણ તથા સોના-ચાંદીના દાગીના ઉપરાંત 1.40 લાખ રૂપિયા રોકડ સહિતની 14.40 લાખની મતા મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જ તેણે આ રોકડ અને દાગીનાં તે જ્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો તે વાપી જી.આઇ. ડી.સી., સુર્યાગલીની મહારાણા જવેલર્સમાંથી છેલ્લાં સાત મહિના દરમ્યાન ટુકડે ટુકડે કર્યાની કબુલાત કરી હતી. સાત મહિનાથી ધીરે ધીરે ચોરી કરવાનું શરૂ કર્યુંપોલીસ સમક્ષ પવનકુમારે કરેલી કબુલાત પ્રમાણે તે છેલ્લાં 10 વર્ષથી પ્રકાશ કર્નાવટની મહારાણા જવેલર્સમાં નોકરી કરતો હતો. પૈસાદાર થવાની લાલચે તેણે છેલ્લાં સાત મહિનાથી ધીરે ધીરે ચોરી કરવાનું શરૂ કર્યું હતું. 14.40 લાખની મતા થઇ જતાં તેણે આ સામગ્રી વતન વગે કરવાનું નક્કિ કર્યું હતું. વતન રાજસમન્દમાં નવા બનાવેલાં પૈતૃક ઘરે પૂજા રાખવામાં આવી હતી. રાજસ્થાન જવા સુરત આવ્યો ને પોલીસે દબોચ્યોપૈતૃકના ઘરે પૂજામાં હાજરી આપવાના ઇરાદે એકલો જ ઘરેથી નીકળ્યો હતો. પત્ની અને બાળકોને પણ સાથે લીધા ન હતા. સુરત સરદાર માર્કેટ પાસેથી રાજસ્થાન જતી બસ મળતી હોઇ તે ત્યાં જવા માટે સુરત આવ્યો હતો, પરંતુ સારોલી પોલીસના હાથે સપડાતા સાત મહિનાની ગદ્દારીનો ભાંડો ફૂટી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 2:58 pm

વલસાડના કાંપરીયા ગામે 'કાગળ પર વિકાસ'નો આક્ષેપ:લાખોની ઉચાપત મામલે DDOને લેખિત ફરિયાદ

વલસાડના કાંપરીયા ગામે સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને 'કાગળ પર વિકાસ'ના ગંભીર આક્ષેપો થયા છે. ગામના જાગૃત નાગરિકો અને પૂર્વ પંચાયત પ્રતિનિધિઓએ આ મામલે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને લેખિત ફરિયાદ આપી તટસ્થ તપાસની માંગ કરી છે. ફરિયાદ મુજબ, વર્ષ 2020-21 દરમિયાન 'ન્યુ ગુજરાત પેટર્ન' યોજના હેઠળ કાંપરીયા ગામના શબરીબોર ફળિયામાં બોર, પાણીની ટાંકી, પંપ અને મિની ટાંકી બનાવવા માટે અંદાજે ₹4.29 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. સરકારી દસ્તાવેજો દર્શાવે છે કે આ કામ 30 જુલાઈ 2021ના રોજ શરૂ થઈ 9 માર્ચ 2022ના રોજ પૂર્ણ થયું હતું અને તેની સંપૂર્ણ રકમ ચૂકવાઈ ગઈ હતી. જોકે, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય જયશ્રીબેન પટેલ અને પૂર્વ સરપંચ શંકરભાઈ પટેલે સ્થળ તપાસ કરતા કોઈ પણ પ્રકારની ટાંકી કે બોરનું બાંધકામ જોવા મળ્યું ન હોવાનું જણાવ્યું છે. RTI દ્વારા મળેલી માહિતીના આધારે, તલાટી-કમ-મંત્રી તથા સંબંધિત વિભાગ દ્વારા ખોટા 'Completion Certificate' રજૂ કરીને નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે અને આ ટાંકીથી 600થી 700 પરિવારોને લાભ થવાનો હતો. ભ્રષ્ટાચારના કારણે લોકો તેમના હકથી વંચિત રહ્યા છે. DDOને રજૂઆત કરીને કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ ગાંધીચીંધ્યા માર્ગે ધરણા પર બેસશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 2:52 pm

બે ભાઈની 480 KMની અનોખી સ્કેટિંગ યાત્રા:સુરતથી અંબાજીનો સંકલ્પ, પ્રથમ દિવસે 75 KM કાપી ભરૂચ પહોંચ્યા

સપનાઓને હિંમત, મહેનત અને સંકલ્પથી સાકાર કરી શકાય છે આ વાતને સાચી સાબિત કરતી એક પ્રેરણાદાયક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવે તેવા ઉદ્દેશ સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સાહસિક સંકલ્પ લીધો છે. પાશ્વ પટેલ (ઉંમર 10 વર્ષ) અને તેના પિતરાઈ ભાઈ પંથ પટેલ (ઉંમર 9 વર્ષ) છેલ્લા બે વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી,બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો હતો. બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારજનોએ તરત જ સહમતિ આપી જરૂરી તૈયારીઓ કરી હતી. આજે સવારના 7 વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ રવાના થયા હતા. તેમની સાથે ત્રણ વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ 8 સભ્યો ઉત્સાહવર્ધન અને સુરક્ષા માટે જોડાયા છે.પ્રથમ જ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પાર કરી ભરૂચ પહોંચીને સૌને ચકિત કરી દીધા છે. 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન, શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે. અંબાજી પહોંચીને માતાજીને ધ્વજા અર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમનો નિશ્ચય છે. નાનકડી ઉંમરમાં મોટું સ્વપ્ન અને તેને સાકાર કરવાની હિંમત,પાશ્વ અને પંથ પટેલની આ યાત્રા માત્ર રમતગમતનો પ્રયાસ નહીં,પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્રોત બની છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 2:40 pm

પોલીસ સ્ટેશન પર હુમલો કરી આરોપીઓ દીવ નાસી ગયા'તા:કુખ્યાત શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરતી હોવાનો ખાર રાખી આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલના ઘા કરી ભય ફેલાવવા પ્રયાસ કરનાર 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગઈકાલે પાંચેય આરોપીઓને ઝડપી પાડી વારંવાર આતંક મચાવતા હતા તે એસ.કે ચોકમાં લઇ જઈ રિકંસ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આ સમયે આરોપીઓ કુકડાની ચાલ ચાલી પોલીસ અમારા બાપ છે પોલીસ અમારા દાદા છે ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી અજય ઉર્ફે સદ્દામ વિરુધ્ધ 17 અને જેનીસ ઉર્ફે માજન વિરુધ્ધ 8 ગુના નોંધાઈ ચુક્યા છે પોલીસ દ્વારા આરોપીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા તેનો ખાર રાખી પોલીસ પ્રત્યે રોષ રાખી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પશ્ચિમ વિભાગના ઇન્ચાર્જ એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, ગત તારીખ 16 જાન્યુઆરીના રોજ રાત્રીના 10.30 વાગ્યા આસપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર અજાણ્યા શખ્સો દ્વારા સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતા જેથી સીસીટીવી ફૂટેજ અને સોર્સીસ મદદથી તપાસ શરૂ કરી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે મળેલ સૂચના આધારે અલગ અલગ ટિમો બનાવી ગુનામાં સંડોવાયેલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં અજય ઉર્ફે સદ્દામ મહેતા, વિશાલ ગોહિલ, જેનીશ ઉર્ફે માજન માંડલિયા, જય ખાંભરા અને કરણ પરમારનો સમાવેશ થાય છે. જયારે આ ઉપરાંત તેમની સાથે અન્ય એક શખ્સની પણ સંડોવણી હોવાનું સામે આવતા તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પૈકી અજય ઉર્ફે સદ્દામ મહેતા વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં રાજકોટ શહેર જિલ્લામાં મળી અલગ અલગ 17 જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાનું, વિશાલ ગોહિલ વિરુધ્ધ 3 ગુના, જેનીશ ઉર્ફે માજન માંડલિયા વિરુધ્ધ 8 ગુના, જય ખાંભરા વિરુધ્ધ 5 ગુના અને કરણ પરમાર વિરુધ્ધ એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી અજય ઉર્ફે સદ્દામ અને જેનીશ ઉર્ફે માજન વિરુધ્ધ પોલીસ દ્વારા કરવામાં આવતી કડક કાર્યવાહીથી પોલીસ સામે રોષ રાખી આરોપીઓએ સાથે મળી પોલીસ સ્ટેશન પર હુમલો કરી ભય ફેલાવવા માટે પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર હુમલો કરી આરોપીઓ દીવ તરફ નાસી ગયા હતા જેથી રાજકોટ પોલીસ દ્વારા દીવ પોલીસને જાણ કરી આરોપીઓનું લોકેશન આપવામાં આવ્યું હતું અને રાજકોટ પોલીસ આરોપીઓનો કબ્જો મેળવવા દીવ રવાના થયા હતા અને દીવ પોલીસે આલીશાન હોટલ સામેના પાર્કિંગ વિસ્તારમાં મહિન્દ્રા થાર વાહન નંબર જીજે.03.પીજે.0022 સાથે અટકાયત કરી દીવ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જે બાદ રાજકિત પોલીસ આરોપીઓનો કબ્જો મેળવી રાજકોટ લાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે રાજકોટ ગ્રંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ દયારામભાઈ બારૈયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.16.01.2026ના રાત્રે 10.30 વાગ્યે પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે કાચની બોટલો ફુટવાનો અવાજ આવતા રૂમમાંથી બહાર આવીને જોયું તો પોલીસ સ્ટેશનના ગેઇટ અંદરની ખુલ્લી જગ્યામાં એક કાચની સોડા બોટલ તુટેલ હાલતમાં જોવા મળી હતી તથા પોલીસ સ્ટેશનના બહારના ભાગે ત્રણ કાચની સોડા બોટલો તુટેલ હાલતમાં મળી હતી જેથી આ બોટલો કોઇએ પોલીસ સ્ટેશન ઉપર ફેંકેલ હોવાનુ જણાતા બહાર જઇને જોયુ તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બાજવતા હોમગાર્ડ મહિપાલસીંહ જાડેજા હાજર હતા જેને જણાવ્યું કે બે અલગ અલગ ટુ વ્હીલર ઉપર બે-બે વ્યક્તિ એમ કુલ ચાર વ્યક્તિ અહીંથી નીકળેલા હતા તેઓ ચાલુ વાહનમાં પોલીસ સ્ટેશનમાં સોડા બોટલોના ઘા કરી રૈયા ટેલીફોન એક્સ્ચેન્જ સર્કલ તરફ ભાગી ગયા છે. માટે ચાર અજાણ્યા શખ્સોએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર કાચની સોડા બોટલોના છુટ્ટા ઘા કરી માણસની જીંદગી કે અન્ય વ્યક્તિઓની શારીરીક સલામતી જોખમમાં મુકાય એવુ બેફામ અને બેદરકારી ભર્યુ કૃત્ય કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન જે જાહેર મીલ્કતમાં નુકશાન કરવાનો પ્રયત્ન કરી નાશી ગયા છે માટે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 2:24 pm

ગોધરામાં આપત્તિ વ્યવસ્થાપન, વન્યજીવ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:200થી વધુ વિદ્યાર્થીનીઓએ તાલીમ લીધી

ગોધરા તાલુકાના ચંચોપા ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાતે વિદ્યાર્થીનીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અને વન્યજીવ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકગણે તાલીમ લીધી હતી. આ કાર્યક્રમ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને 'વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશન' દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો. મુખ્ય વિષયોમાં આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management), વન્યજીવ સૃષ્ટિનું જતન અને સર્પદંશ અંગેની સાવચેતીનો સમાવેશ થતો હતો. કાર્યક્રમ દરમિયાન, વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશનના સંચાલકો અને સ્વયંસેવકો દ્વારા બાળકોને કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સમયે કેવી રીતે સુરક્ષિત રહેવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જો કોઈને સર્પદંશ થાય તો ગભરાયા વગર કયા પ્રાથમિક ઉપચાર કરવા અને કઈ અંધશ્રદ્ધાથી દૂર રહેવું તે અંગે વિગતવાર માહિતી આપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. આ પ્રકારની તાલીમથી ગ્રામ્ય વિસ્તારની દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ મુશ્કેલ સમયમાં પોતાની તેમજ અન્યની મદદ કરવા સક્ષમ બને છે, તેમ આયોજકો દ્વારા જણાવાયું હતું. કાર્યક્રમના અંતે, શાળા પરિવારે જિલ્લા તંત્ર અને ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 2:13 pm

મોરબીમાં બિલ્ડરો સામે છેતરપિંડીનો આરોપ:4 સોસોયટીના રહિશોએ પ્રાથમિક સુવિધાઓ બાબતે ચક્કાજામ કર્યો, પોલીસે ફરિયાદની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

મોરબીના પીપળી ગામ પાસે આજે ચાર સોસાયટીના રહીશોએ બિલ્ડરો દ્વારા છેતરપિંડીના આરોપસર રોડ ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે બંને બાજુએ 10 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને ગોકુલનગર સોસાયટીના આશરે 350 મકાનોના રહીશોનો આરોપ છે કે, બિલ્ડરોએ તેમને મકાનનું વેચાણ કર્યું હોવા છતાં પ્લોટના દસ્તાવેજો કરી આપ્યા છે. આ ઉપરાંત, રોડ, લાઈટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી. રહીશોના જણાવ્યા અનુસાર, પ્લોટના દસ્તાવેજોને કારણે તેમના મકાનો પીપળી ગ્રામ પંચાયતમાં નોંધાઈ શક્યા નથી, જેના પરિણામે તેમને પંચાયત તરફથી મળતી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. પ્રત્યેક મકાન 15 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ ચક્કાજામને કારણે જેતપર રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. કારખાનાના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારોના લોકો અને માલસામાનની હેરાફેરી કરતા વાહનચાલકો કલાકો સુધી ફસાયા હતા. ઘટનાની જાણ થતા ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બિલ્ડરો સામે સોસાયટી દીઠ એક ફરિયાદ નોંધવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે ખાતરી આપ્યા બાદ આશરે બે કલાક પછી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો, જોકે, ટ્રાફિક સામાન્ય થવામાં દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. અગાઉ પણ આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 2:08 pm

બ્રિટનની સંસ્થાએ સુરતના PSIને 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ' એવોર્ડ આપ્યો:1991માં કોન્સ્ટેબલથી શરૂ થયેલી સફર આંતરરાષ્ટ્રીય સન્માન સુધી પહોંચી

ગુજરાત પોલીસનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનારા સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કીર્તિપાલસિંહ પુંવારને તેમની ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન સેવા બદલ ઈંગ્લેન્ડની સંસ્થા 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ' દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. PSI 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ' એવોર્ડથી સન્માનિતસુરત ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કીર્તિપાલસિંહ પુંવારને તેમની સાડા ત્રણ દાયકાની અવિરત અને ઉત્કૃષ્ટ સેવા બદલ ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત સંસ્થા 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ' દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન એ માત્ર એક અધિકારીની સિદ્ધિ નથી, પરંતુ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને નિષ્ઠાનું વૈશ્વિક પ્રમાણપત્ર છે. દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત સમારોહ બાદ ખાસ સુરત આવીને સંસ્થાએ તેમને આ સન્માન પત્ર એનાયત કર્યું હતું. 35 વર્ષની સેવાનો શાનદાર ટ્રેક રેકોર્ડ1991માં એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ખાખી વર્દી ધારણ કરનાર કીર્તિપાલસિંહ હરિશ્ચંદ્રસિંહ પુંવારે પોતાની કારકિર્દીના 34-35 વર્ષ લોકસેવા અને કાયદાના પાલનમાં સમર્પિત કર્યા છે. બ્રિટનની આ સંસ્થાએ એવોર્ડ આપતા પહેલા તેમના વર્ષોના ટ્રેક રેકોર્ડ, શિસ્તબદ્ધ વર્તન અને કાયદાકીય પાલનની બારીકાઈથી તપાસ કરી હતી. તેમની લાંબી કારકિર્દીમાં અત્યાર સુધીમાં 550થી 600 જેટલા રિવોર્ડ્સ મળ્યા છે, જે કોઈપણ પોલીસ અધિકારી માટે એક સ્વપ્ન સમાન સિદ્ધિ છે. કોન્ટ્રાક્ટ કિલીંગ ફાયરિંગમાં પિસ્તોલ સાથે એકને ઝડપ્યોકીર્તિપાલસિંહની કારકિર્દી માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સાહસિક કિસ્સાઓથી ભરેલી છે. વર્ષ 2009માં સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ શાહ પર થયેલા કોન્ટ્રાક્ટ કિલીંગના ફાયરિંગમાં તેમણે જે બહાદુરી બતાવી હતી તે આજે પણ પોલીસ બેડામાં ચર્ચાય છે. જીવના જોખમે આરોપી ફારુક હબીબ શેખને ઘટનાસ્થળે જ પિસ્તોલ સાથે દબોચી લીધો હતો, જેના પરિણામે આરોપીઓને આજીવન કેદની સજા થઈ હતી. આવા અનેક હત્યા, લૂંટ અને ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે, જે તેમને ગુનેગારો માટે 'ખૌફ' બનાવે છે. 'પ્રેસિડેન્ટ એવોર્ડ' અને'DG Disc' એવોર્ડ મળ્યા છેકીર્તિપાલસિંહને માત્ર રાજ્ય સ્તરે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ અનેક સન્માન મળ્યા છે. તેમને ભારતના માનનીય રાષ્ટ્રપતિના હસ્તે 'પ્રેસિડેન્ટ એવોર્ડ' અને પોલીસ વિભાગનો પ્રતિષ્ઠિત 'DG Disc' એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તાજેતરમાં ચર્ચાયેલા 2,000 કરોડના ભયાનક સાયબર ફ્રોડ કેસમાં પણ તેઓ તપાસ ટીમનો અભિન્ન હિસ્સો રહ્યા હતા. ટેકનોલોજીના યુગમાં સાયબર ગુનેગારોને પકડવા માટે તેમણે જે નિષ્ઠા અને કુશળતા દાખવી, તેનાથી સાબિત થયું કે અનુભવ અને આધુનિક તપાસનો સમન્વય કેવી રીતે સફળતા અપાવે છે. 1991માં કોન્સ્ટેબલથી શરૂ થયેલી સફર આંતરરાષ્ટ્રીય સન્માન સુધી વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ દ્વારા આપવામાં આવેલું આ ઓનર તેમના ઉચ્ચ નૈતિક ધોરણો અને વ્યાવસાયિક પ્રામાણિકતાની સ્વીકૃતિ છે. સંસ્થાના પ્રેસિડેન્ટ હેનરી આર. દ્વારા હસ્તાક્ષરિત આ પ્રમાણપત્ર કીર્તિપાલસિંહની જાહેર સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને બિરદાવે છે. 1991માં શરૂ થયેલી એક કોન્સ્ટેબલની સફર આજે આંતરરાષ્ટ્રીય સન્માન સુધી પહોંચી છે, જે નવા જોડાતા પોલીસ કર્મચારીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. ‘મેં હત્યા અને લૂંટના અસંખ્ય કેસો ઉકેલ્યા’કીર્તિપાલસિંહએ જણાવ્યું હતું કે, આ સિવાય, મેં અત્યાર સુધીમાં ઘણા પુરસ્કારો મેળવ્યા છે અને અસંખ્ય કેસ શોધી કાઢ્યા છે. તે પૈકી, 2009માં એક ઘટના બની હતી, જેમાં ચેતન મોટર્સના માલિક ગૌતમ શાહ પર કોન્ટ્રાક્ટ કિલીંગ માટે ફાયરિંગ થયું હતું. મને મળેલી માહિતીના આધારે, મેં તાત્કાલિક આરોપી ફારુક હબીબ શેખનો પીછો કર્યો અને ઘટના સમયે જ તેને પિસ્તોલ સાથે પકડી પાડ્યો હતો. તે કેસમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, મેં હત્યા અને લૂંટના અસંખ્ય કેસો ઉકેલ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 2:01 pm

ગંગાજળિયા તળાવ વિસ્તારમાં થયેલી લૂંટનો મામલો ઉકેલાયો:પોલીસે બે આરોપીઓને ઝડપ્યા, ફરિયાદી પર છરી-પાઈપથી હુમલો કરી 800 રૂપિયાની લૂંટ કરી હતી

ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં 3 દિવસ પૂર્વે લૂંટ અને હુમલાની ઘટના બની હતી. ઘરનું કરિયાણું લેવા ગયેલા સીદસર ગામના રહેવાસી યુવક પર દાળપુરીની લારી પાસે છરી અને લોખંડના પાઈપથી હુમલો કરી રૂ.800ની લૂંટ કરવામાં આવી હતી. આ મામલે ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગણતરીના દિવસોમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક શખસ આવી ફરિયાદીના પ્લેટમાંથી દાળપુરી ખાવા લાગ્યોઆ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, તા.17 જાન્યુઆરીના રોજ સીદસર ગામના રહેવાસી પ્રવિણભાઈ મંગાભાઈ ચારોલીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તા.16 જાન્યુઆરીના રોજ સવારના સમયે ફરિયાદી રીક્ષામાં બેસી ભાવનગરના ગંગાજળિયા તળાવ ખાતે ઘરનું કરીયાણ લેવા આવ્યા હતા. બસ સ્ટેન્ડ નજીક દાળપુરીની લારી પર નાસ્તો કરતા હતા, તે દરમિયાન એક અજાણ્યો ઇસમ તેમની પ્લેટમાંથી દાળપુરી ખાવા લાગ્યો હતો. ત્રણ શખસો આવ્યા અને હથિયારો અને ઢીકાપાટુંનો માર માર્યોફરિયાદીએ તેનો વિરોધ કરતાં ઇસમ ઉશ્કેરાઈ ગયો હતો. લારીધારકે પણ તેને ત્યાંથી જવા કહ્યું હતું, જેના બાદ લાલો નામનો ઇસમ ત્યાંથી નીકળી ગયો હતો. જો કે થોડીવારમાં લાલો ફરી બે અજાણ્યા ઇસમો સાથે પરત ફર્યો, જેમાં લાલાના હાથમાં છરી અને અન્ય એક ઇસમના હાથમાં લોખંડનો પાઈપ હતો. આ ત્રણેય ઇસમોએ ફરિયાદી પ્રવિણભાઈને પકડી લીધા હતા અને લાલાએ રૂપિયા માગ્યા હતા. ફરિયાદી પ્રવિણભાઈએ રૂપિયા આપવાની ના પાડતા લાલાએ છરી વડે તેમના માથાના ભાગે હુમલો કર્યો હતો. આ સાથે ભુંડાબોલી ગાળો આપી ખિસ્સામાં રહેલા રૂ.800 લૂંટી લીધા હતા. પોલીસે માર મારનાર ત્રણેય ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીઆ ઘટનામાં અર્જુન ઉર્ફે ઠુઠો નામના ઇસમે લોખંડના પાઈપથી ફરિયાદીના પગ અને પીઠના ભાગે માર માર્યો હતો, જ્યારે ત્રીજા અજાણ્યા ઇસમે પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્રણેય આરોપીઓ ફરી તળાવ વિસ્તારમાં દેખાઇશ તો જીવતો નહીં રહેવા દઈએની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પ્રવિણભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તા. 17 જાન્યુઆરીના રોજ સમગ્ર બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં લાલો, અર્જુન ઉર્ફે ઠુઠો અને એક અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે અર્જુન ઉર્ફે ઠુઠો અને ઈશ્વર ઉર્ફે લાલો વેગડને ઝડપી પાડ્યાજ્યારે આ બનાવ અંગે ગંગાજળિયા પોલિસ સ્ટેશનમાં નોંધાયેલી પોલિસ ફરિયાદમાં તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન પોલિસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં આરોપી અર્જુન ઉર્ફે ઠુઠો અને ઈશ્વર ઉર્ફે લાલો વેગડને ઝડપી પાડ્યા હતા અને આ બનાવના અન્ય એક અજણાયા ઇસમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:55 pm

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, પ્રેતને ઉંધું લટકાવીશું:મહિલાઓએ ચીસો પાડી, માથા પછાડીને ધૂણવા લાગી, વીડિયોમાં જુઓ દિવ્ય દરબાર

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ રવિવારે હનુમંત કથા પહેલા બાંદામાં દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું, આજે આપણે ભૂતને ઊંધું લટકાવીશું. થોડા જ સમયમાં, 100 થી વધુ મહિલાઓ, યુવતીઓ અને પુરુષો પંડાલમાં ભેગા થઈ ગયા. કેટલાક વાળ છૂટા રાખીને ધૂણવા લાગ્યા તો કેટલાક જમીન પર આળોટવા લાગ્યા. જુઓ વિડીયો

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:54 pm

ગઢડાના ગુંદાળા ગામ નજીક ઈકો ગાડીમાંથી 4.4 કિલો ગાંજો ઝડપાયો:બોટાદ SOG પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

બોટાદ SOG પોલીસે બાતમીના આધારે ગઢડા તાલુકાના ગુંદાળા ગામ નજીક એક ઈકો ગાડીને અટકાવી હતી. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી સુકો ગાંજો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ગાડીમાં રાખેલી થેલીમાંથી કુલ 4 કિલો 441 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. આ જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2 લાખ 25 હજાર અંદાજવામાં આવી છે. આ કેસમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. જેમાં ઢસા ગામના દિવ્યેશ ઉર્ફે પિન્ટુ ભુપતભાઈ નાથજી અને પાટણા ગામના દિગ્વિજયસિંહ મહોબતસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. પોલીસે સુકા ગાંજા ઉપરાંત ઈકો ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 4 લાખ 37 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:53 pm

11 વર્ષની બાળાનો પીછો કરી નરાધમોએ હાથ પકડ્યો:વિકૃત માનસ ધરાવતા બે મિત્રોની કરતૂત CCTVમાં કેદ થઈ, પોલીસે બંનેને શોધી કાઢી કાયદાનું ભાન કરાવ્યું

સુરતના અમરોલી વિસ્તારમાં ધો. 6માં અભ્યાસ કરતી 11 વર્ષીય બાળા સ્કૂલેથી ઘરે જઈ રહી હતી. ત્યારે પીછો કરવાની સાથે જાહેરમાં હાથ પકડી પોતાની તરફ ખેંચી બે નરાધમે બિભત્સ હરકત કરી હતી. અમરોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંનેને ઘટનાસ્થળે લઈ જઈને પાઠ ભણાવતા બે હાથ જોડ્યા હતા. વિદ્યાર્થિની એકલી ઘરે પરત ફરી રહી હતીમળતી માહિતી પ્રમાણે, અમરોલી વિસ્તારમાં રહેતા એક પરિવારની 11 વર્ષીય દીકરી ગત શનિવારે શાળાએ ગઈ હતી. બપોરે શાળા છૂટ્યા બાદ તે એકલી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે બે અજાણ્યા યુવકો તેની પાછળ પડ્યા હતા. પહેલા તેમણે તેનું નામ પૂછ્યું હતું. કિશોરીએ હિંમત બતાવી ‘મારું નામ જાણીને શું કરશો?' તેમ કહી ચાલવાની ઝડપ વધારી દીધી હતી. એક યુવકે હાથ પકડી પોતાની તરફ ખેંચી છેડતી કરીજોકે, વિકૃત માનસ ધરાવતા આ યુવકોએ પીછો છોડ્યો ન હતો અને કિશોરી કઈ સ્કૂલમાં ભણે છે તેમ પૂછી પજવણી શરૂ કરી હતી. કિશોરી કાંઈ સમજે તે પહેલા જ એકે તેનો હાથ પકડી પોતાની તરફ ખેંચી છેડતી કરી હતી. ગભરાયેલી કિશોરીએ સમયસૂચકતા વાપરી પ્રતિકાર કર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટી સીધી ઘરે પહોંચી હતી. સીસીટીવી કેમેરા તપાસતા ટપોરીઓની શરમજનક હરકત કેદઘરે પહોંચેલી દીકરી અત્યંત ગભરાયેલી અને રડતી હાલતમાં હોવાથી માતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. પરિવારે તાત્કાલિક અમરોલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે મામલાની ગંભીરતા જોઈ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા ટપોરીઓની શરમજનક હરકત કેદ થયેલી જોવા મળી હતી. બંને આરોપીઓ સ્થાનિક તબેલામાં સાથે કામ કરે છેફૂટેજના આધારે પોલીસે રાજકુમાર જલ્લુ યાદવ (ઉં.વ. 20, રહે. મણી પુરુષોત્તમ નગર, છાપરાભાઠા, મૂળ બનારસ, યુપી) અને મુકેશ રત્નાભાઈ મીર (ઉં.વ. 20, રહે. વાળીનાથ સોસાયટી, છાપરાભાઠા, મૂળ ધોળકા) તરીકે ઓળખ થઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ સ્થાનિક તબેલામાં સાથે કામ કરે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:41 pm

કાલાવડમાં ઇકો કારની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા:પંચમહાલના આરોપીઓને LCBએ ચોરાયેલી ઈકો કાર સાથે પકડ્યા

જામનગર એલસીબીએ કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામેથી ઇકો કાર ચોરીના કેસમાં પંચમહાલના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલી ઇકો કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, મયુદિનભાઈ સૈયદ અને કિશોરભાઈ પરમારને જામનગર કમાન્ડ કંટ્રોલની મદદથી ચોક્કસ હકીકત મળી હતી. આ માહિતીના આધારે, પોલીસે જામનગર-કાલાવડ હાઈવે પર મોટી માટલી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતા જશવંતભાઈ ગુલાબભાઈ નાયક (ઉં.વ. 27) અને સમરૂભાઈ ચીમનભાઈ નાયક (ઉં.વ. 20) ને ઝડપી લેવામાં આવ્યા હતા. બંને ખેત મજૂરી કરે છે અને મૂળ ગોધરા, પંચમહાલ જિલ્લાના થાણા ગરજણ ગામના પટેલ ફળિયાના રહેવાસી છે. જશવંતભાઈ હાલ મોટી ભગેડી ગામમાં જમનભાઈ કોટડીયા પટેલની વાડીમાં રહેતા હતા. પોલીસે તેમની પાસેથી મારૂતિ કંપનીની ઇકો કાર (રજી. નં. જી.જે.10 ડી.એ.2023) જેની કિંમત રૂ. 1,00,000 છે, તથા બે મોબાઇલ ફોન જેની કિંમત રૂ. 10,000 છે, મળી કુલ રૂ. 1,10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) મુજબ ગુનો નોંધી, એ.એસ.આઈ. અરજણભાઈ કોડીયાતરે વધુ કાર્યવાહી માટે કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનને સુપરત કર્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:40 pm

લુપ્ત સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા પરિક્રમા:નદીના પ્રવાહને ફરી વહેતો કરવા વસંત પંચમીએ પાટણ-સિદ્ધપુર વચ્ચે 18 KMની પદયાત્રા, સાધુ-સંતો જોડાશે

પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી સરસ્વતી નદીના અસ્તિત્વ અને સાંસ્કૃતિક મહત્વને પુનર્જીવિત કરવા માટે 23 જાન્યુઆરી, વસંત પંચમીના રોજ એક વિશેષ પરિક્રમાનું આયોજન કરાયું છે. સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ આ પરિક્રમા પાટણના આનંદેશ્વર મહાદેવથી શરૂ થશે અને નદીના પુનરુદ્ધારનો સંદેશ ફેલાવશે. પ્રાચીન કાળમાં પાટણ અને સિદ્ધપુર વચ્ચે વહેતી સરસ્વતી નદીનો આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસો જાળવવા સ્થાનિકો અને સાધુ-સંતોએ આ પહેલ કરી છે. ભૌગોલિક ફેરફારોને કારણે વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થયેલી આ નદીના કિનારે અગાઉ અનેક ઋષિમુનિઓના આશ્રમો અને વિદ્યાકેન્દ્રો હતા. આ પવિત્ર વારસાની સ્મૃતિમાં અને નદીના પ્રવાહને ફરી વહેતો કરવાના હેતુથી 'માતાજી ધરા અવતરણ' સંકલ્પ સાથે આ પરિક્રમાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ નદીને માત્ર પાણીના સ્ત્રોત તરીકે નહીં, પરંતુ સંસ્કૃતિની ચેતના તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ છે. પરિક્રમા અંગે વિગતો આપતા ડૉ. જીગર પટેલે જણાવ્યું કે, 23 જાન્યુઆરીના રોજ સવારે 08:15 વાગ્યે પાટણના પાલડી સ્થિત આનંદેશ્વર મહાદેવથી યાત્રાનું પ્રસ્થાન થશે. આશરે 17 થી 18 કિલોમીટર લાંબો આ રૂટ પાલડી, સાગોડિયા, કુંતાવાડા, અજીમણા અને રૂણી ગામોને આવરી લેશે. પદયાત્રા દિવસભર વિવિધ ગામોમાં પરિભ્રમણ કર્યા બાદ સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે પરત આનંદેશ્વર મહાદેવ ખાતે સંપન્ન થશે. આ આયોજનનો મુખ્ય સંકલ્પ સરસ્વતી નદી સિદ્ધપુરથી પાટણ સુધી 365 દિવસ વહેતી રહે તે માટે જનજાગૃતિ લાવવાનો છે. આ પરિક્રમામાં અંદાજે 100 થી 125 સાધુ-સંતો માર્ગદર્શન આપશે. હાલ 500 થી 600 શ્રદ્ધાળુઓ જોડાવાનો અંદાજ છે, જે સંખ્યા 1,000 થી 2,000 સુધી પહોંચી શકે છે. પાટણની જનતા, આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકો અને વિવિધ રાજકીય અગ્રણીઓએ પણ સહકાર આપવાની ખાતરી આપી છે. લુપ્ત થયેલા જળવારસાના જતનમાં સહભાગી થવા માટે તમામ વર્ગના લોકોને આ પરિક્રમામાં જોડાવા આહવાન કરાયું છે. મા સરસ્વતીની ધરાઅવતરણ યાત્રા ફાયદાઓ

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:35 pm

ન્યૂ વીઆઈપી રોડ પર ભાડાના મકાનમાં UPના યુવકનો રહસ્યમય આપઘાત:બોડી ડિકમ્પોઝ હાલતમાં મળી, મૃતદેહને પોસ્ટમોર્ટમાં ખસેડીને પોલીસની તપાસ શરૂ

વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલા સાયજી ટાઉનશીપ વિસ્તારમાં બાપા સીતારામ નગરમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના યુવકે રહસ્યમય સંજોગોમાં ભાડાના મકાનમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલા મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. એકલો રહેતાં UPના યુવકનો રહસ્યમય આપઘાતઆ આત્મહત્યા કરનાર યુવકની ઓળખ અજીતકુમાર બ્રિજમોહન મોર્ય (ઉંમર 34) તરીકે થઈ છે. તે મૂળ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના મહોરિયા ગામનો રહેવાસી હતો. યુવક અહીં એકલો રહેતો હતો અને છૂટક મજૂરીનું કામ કરીને ગુજરાન ચલાવતો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બોડી ડિકમ્પોઝ હાલતમાં મળીઆ ઘટના અંગે પાડોશીઓએ દુર્ગંધ આવતા હરણી પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકે સાડી વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી અને આ ઘટના બેથી ત્રણ દિવસ પહેલાં બની હોવાની શક્યતા છે. મૃતદેહ ડીકમ્પોઝ (સડેલી) સ્થિતિમાં મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પરિવારને જાણ કરી છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ હરણી પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડીને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં રહેતા પરિવારને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. પરિવારના સભ્યો આવ્યા બાદ પોસ્ટમોર્ટ કરીને મૃતદેહ સોંપવાની કાર્યવાહી કરાશે. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. હરણી પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ વધુ વિગતો બહાર આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:31 pm

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે પ્રદીપ મિશ્રા આકરા પાણીએ:: 'હિન્દુઓને લટકાવીને જીવતા સળગાવાઈ રહ્યા છે. આપણને ડરાવવા અને ધમકાવવા કરાઈ રહ્યું છે, બટેંગે તો કટેંગે, જેથી સનાતનીઓને એકજુટ થવાની જરૂર છે'

વડોદરા શહેરના આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે હાલ પંડિત પ્રદીપ મિશ્રાજીની શિવ કથા ચાલી રહી છે. આ દરમિયાન આજે તેઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે પ્રદીપ મિશ્રાએ જણાવ્યું હતું કે, હું સનાતનીઓ અને હિન્દુત્વમાં માનનારાઓને એ જ સંદેશ આપવા માંગીશ કે અત્યારે એકજૂટ થવાની જરૂર છે. આજે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તે આપણે ઘણી જગ્યાએ જોઈ રહ્યા છીએ. ક્યાંક હિન્દુઓને લટકાવીને જીવતા સળગાવવામાં આવી રહ્યા છે. આ બધું કદાચ આપણને ડરાવવા અને ધમકાવવા માટે કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં જ્યારે તેમની સંખ્યા વધશે ત્યારે તેઓ આપણી પર અત્યાચાર કરી શકે. તેઓએ કહ્યું હતું કે, મારી સનાતનીઓ અને હિન્દુઓને નમ્ર વિનંતી છે કે, આપણે જેટલા સમાજો, જ્ઞાતિઓ અને બિરાદરીઓમાં વહેંચાઈશું, તેટલું જ આપણું કપાવાનું નક્કી છે. જો આનાથી બચવું હોય તો એકજૂટ થવું ખૂબ જ જરૂરી છે. દેશ અને દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અંગે તેઓએ જણાવ્યું હતું કે, દિલ્હી હોય કે પછી સમગ્ર ભારત દેશ, આજના સમયમાં વૃક્ષારોપણ કરવું અત્યંત અનિવાર્ય બની ગયું છે. નિષ્ણાતોના મતે આજે પૃથ્વીને કરોડો વૃક્ષોની જરૂર છે. હાલની પરિસ્થિતિ જોતા જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે અને આપણું વાતાવરણ પણ શુદ્ધ રહી શકતું નથી. પર્યાવરણમાં આવતા બદલાવોને કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે. નાના બાળકોમાં પણ આજે હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે અને લોકોના લિવર અને કિડની પણ ખરાબ થઈ રહ્યા છે. આ બધું જ ક્યાંકને ક્યાંક પર્યાવરણીય સંતુલન બગડવાને કારણે થઈ રહ્યું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, હું દિલ્હીવાસીઓ અને તમામ ભારતીયોને નમ્ર વિનંતી કરું છું કે, વૃક્ષારોપણ એ એકમાત્ર એવું માધ્યમ છે જેના દ્વારા પૃથ્વીને ફરીથી લીલીછમ બનાવી શકાય છે. જ્યારે પ્રકૃતિ હરીભરી હશે, ત્યારે જ પાણીનું સ્તર વધશે અને વાયુમંડળ શુદ્ધ થશે. આપણે સૌએ સાથે મળીને આપણા આસપાસના વાતાવરણને શુદ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. પંડિત પ્રદીપ મિશ્રાએ જણાવ્યું હતું કે, આગામી 15 ફેબ્રુઆરીએ આવનારી મહાશિવરાત્રી માટે અમે 'ગ્રીન શિવરાત્રી' નો સંકલ્પ લીધો છે. દર વર્ષે તમામ સનાતની શિવભક્તો ભગવાન શંકરને જલ અર્પણ કરે છે અને તેમની આરાધના કરે છે. પરંતુ આ વખતે આપણે શિવની સાથે પ્રકૃતિની પણ સેવા કરવાની છે. ભગવાન શિવ એ પ્રકૃતિના દેવ છે. આજે આપણે જોઈએ છીએ કે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, નદીઓ અને તળાવો સ્વચ્છ નથી, જેના કારણે અનેક રોગો વધી રહ્યા છે. આ મુશ્કેલીઓના નિવારણ માટે જ અમે વૃક્ષારોપણ દ્વારા શિવરાત્રી ઉજવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.પ્રશ્ન: શિવભક્તોએ આ અભિયાનમાં કેવી રીતે જોડાવું જોઈએ? તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારો તમામ સનાતનીઓ અને દેશવાસીઓને નમ્ર વિનંતી છે કે, પરિવારના દરેક સભ્યએ એક વૃક્ષ જરૂર લગાવવું જોઈએ. માત્ર વૃક્ષ વાવવું પૂરતું નથી, તેની યોગ્ય દેખરેખ પણ કરવી જોઈએ. જેમ આપણે દરરોજ શિવજીની પૂજા કરીએ છીએ, તેમ અઠવાડિયામાં એક કે બે વાર જઈને તે છોડને પાણી આપવું જોઈએ. શિવ માત્ર મૂર્તિમાં જ નથી, તેઓ સમગ્ર પ્રકૃતિમાં વસેલા છે. શિવ જલ તત્વમાં છે, થલ તત્વમાં છે અને વાયુ તત્વમાં પણ છે. તેથી વૃક્ષારોપણ કરીને પ્રકૃતિને શુદ્ધ રાખવી એ જ સાચી શિવ પૂજા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:27 pm

મુંબઈના મેયર પદ માટે મહાસંગ્રામ, ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ચાવી 'કિંગમેકર' શિંદેના હાથમાં

Mumbai Mayor Race: બૃહદ મુંબઈ મહા નગરપાલિકા (BMC) ના પરિણામો બાદ હવે મુંબઈના મેયર પદને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી હવે ગઠબંધન અને 'રિસોર્ટ પોલિટિક્સ' શરૂ થઈ ગયું છે. આમ તો બૃહદ મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે, પરંતુ પોતાના દમ પર મેયર બનાવવા માટે જરૂરી જાદુઈ આંકડો (114) કોઈની પાસે નથી. આ જ કારણસર મેયર પદ કબજે કરવા માટે ભાજપે એકનાથ શિંદેની શિવસેનાના ટેકાની જરૂર છે. શિંદે સેનાની 'ઓરિએન્ટેશન વર્કશોપ' કે ‘સાવચેતી’

ગુજરાત સમાચાર 19 Jan 2026 1:23 pm

ગુજરાત સરકારની જિલ્લાવાર ધ્વજારોહણની યાદી જાહેર:રાજ્યપાલ વાવ-થરાદમાં, તો હર્ષ સંઘવી અમદાવાદમાં તિરંગો ફરકાવશે; 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈ તૈયારીઓ તેજ

રાજ્યમાં 26 જાન્યુઆરી 2026ના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ગુજરાત સરકારે જિલ્લાવાર ધ્વજારોહણ કાર્યક્રમની સત્તાવાર ફાળવણી જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા વાયરલેસ સંદેશ મુજબ રાજ્ય સ્તરીય ધ્વજારોહણ સમારોહ વાવ-થરાદમાં યોજાશે, જેમાં રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અથવા કલેક્ટર ધ્વજવંદન કરશેજિલ્લા સ્તરે ધ્વજારોહણ કાર્યક્રમો સવારે 9 વાગ્યે યોજાશે. જેમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અથવા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. કયા જિલ્લામાં કોના દ્વારા ધ્વજારોહણ થશે તેની સંપૂર્ણ યાદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. હર્ષ સંઘવી અમદાવાદ જિલ્લામાં ધ્વજવંદન કરશેડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી અમદાવાદ જિલ્લામાં ધ્વજવંદન કરશે. જ્યારે અન્ય કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓને નવસારી, રાજકોટ, ગાંધીનગર, પોરબંદર, વડોદરા, મહેસાણા, ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે. કેટલાક જિલ્લાઓમાં મંત્રી હાજર ન રહી શકે તો કલેક્ટર દ્વારા ધ્વજારોહણ કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈ વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજસરકારે તમામ કલેક્ટરોને સૂચના આપી છે કે, કાર્યક્રમ સ્થળ જિલ્લા વહીવટ દ્વારા નક્કી કરવામાં આવે અને સંબંધિત મંત્રીઓના કાર્યાલય સાથે સમન્વય રાખવામાં આવે. રાજ્યભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈ વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:23 pm

અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ

Ahmedabad News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબજારમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો જૂની અદાવત બની હુમલાનું કારણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર છે.

ગુજરાત સમાચાર 19 Jan 2026 1:21 pm

લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન સુધી ધરા ધ્રૂજી

Ladakh Earthquake | કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર 19 જાન્યુઆરીના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની અસર કાશ્મીર અને પડોશી દેશ તાજિકિસ્તાન સુધી જોવા મળી હતી. રાહતની વાત એ છે કે આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

ગુજરાત સમાચાર 19 Jan 2026 1:13 pm

‘AAP પાસે કોઈ વિઝન નથી, બુઠ્ઠી છરી લઈને લડવા નીકળી’:કરશનદાસ બાપુની 'આપ' પર આકરા પ્રહાર સાથે કોંગ્રેસમાં 'ઘર વાપસી'; જૂનાગઢમાં AAP માટે મોટો ઝટકો

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર પક્ષપલટાના ગરમાવા વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના કદાવર નેતા અને આમ આદમી પાર્ટી (AAP)ના અગ્રણી ચહેરા કરશનદાસ બાપુ ભાદરકાએ 'ઝાડુ' છોડી 'પંજો' પકડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સુરતના કામરેજ ખાતેથી તેમણે આમ આદમી પાર્ટીની કાર્યશૈલી પર આકરા પ્રહાર કરતા તેને વિઝન વગરની પાર્ટી ગણાવી હતી. 'મારા જીવનના 4 વર્ષ બરબાદ થયા' લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા કરશનદાસ બાપુએ AAP વિરુદ્ધ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મેં મારા જીવનના અમૂલ્ય 4 વર્ષ આ પાર્ટીમાં બરબાદ કર્યા છે. ખેડૂતોના નામે રાજકારણ ક્યારેય લાંબુ ટકી શકતું નથી. AAP પાસે જનતાના પ્રશ્નો ઉકેલવા માટે કોઈ સ્પષ્ટ વિઝન કે નીતિ-નિયમો નથી. પાર્ટીની સ્થિતિ અત્યારે એવી છે કે જાણે કોઈ બુઠ્ઠી છરી લઈને મેદાને જંગમાં લડવા નીકળ્યું હોય. NSUIથી કોંગ્રેસ: એક 'ઘર વાપસી' પોતાના રાજકીય મૂળિયાં યાદ કરતા બાપુએ જણાવ્યું કે તેઓ અગાઉ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં જ સક્રિય હતા. તેથી કોંગ્રેસમાં જોડાવું એ તેમના માટે એક પ્રકારે 'ઘર વાપસી' સમાન છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ વિચારધારા અને પક્ષની કામ કરવાની પદ્ધતિથી નારાજ થઈને તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત બાદ નિર્ણય છેલ્લા કેટલાક દિવસોથી કરશનદાસ બાપુ કોંગ્રેસના પ્રદેશ નેતા અમિત ચાવડા અને રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનિક સાથે સતત સંપર્કમાં હતા. સોશિયલ મીડિયા પર તેમની મુલાકાતના ફોટા વાઇરલ થયા બાદ જ પક્ષપલટાની વાત નિશ્ચિત મનાતી હતી. આજે કામરેજથી તેમણે આ અંગે સત્તાવાર મહોર મારી દીધી છે. જૂનાગઢમાં AAP માટે મોટો ઝટકો કરશનદાસ બાપુ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોના મુદ્દે મજબૂત પકડ ધરાવે છે. તેમના કોંગ્રેસમાં જવાથી જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનને મોટું નુકસાન થઈ શકે છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસની તાકાતમાં વધારો થવાની શક્યતા છે. ખેડૂતલક્ષી રાજનીતિમાં નવા સમીકરણો રચાશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 1:03 pm

ખેડૂતવાસમાં ઘોઘારોડ પોલીસની રેડ:ઇંગ્લીશ દારૂ-બિયરના જથ્થા સાથે સંજય ઉર્ફે કોભાંડ ઝડપાયો

ભાવનગર શહેરમાં ઘોઘારોડ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખેડુતવાસ વિસ્તારમાં રેઇડ હાથ ધરવામાં આવી હતી. આનંદનગર મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ સામે રોડ પરથી ગેરકાયદે ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે સંજય ઉર્ફે કોભાંડ ભોળાભાઈ રાઠોડ ઝડપાયો હતો. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની રેડ સમયે આરોપી સ્થળેથી મળી આવ્યોભાવનગર શહેરમાં ઘોઘારોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે શહેરના ખેડુતવાસ વિસ્તારમાં કોળી જ્ઞાતીની વાડી પાસે રેઇડ હાથ ધરવામાં આવી હતી. આનંદનગર વિસ્તારમાં મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ સામે રોડ પર સંજય ઉર્ફે કોભાંડ ભોળાભાઈ રાઠોડ (ઉં.વ. 34), ભાવનગર રહેવાસી, બહારથી ઇંગ્લીશ દારૂ મંગાવી ગેરકાયદે વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં રેઇડ દરમિયાન સંજય ઉર્ફે કોભાંડ ભોળાભાઈ રાઠોડ દારૂના જથ્થા સાથે સ્થળ પર હાજર મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરીપોલીસે તપાસ કરતા તેની પાસે રહેલ કાપડનો ચેઇનવાળો થેલો તપાસવામાં આવ્યો હતો, જેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. થેલામાં લંડન પ્રાઇડ પ્રિમીયમ વ્હીસ્કી 180 એમએલની 28 બોટલ કિં.રૂ. 7,392, ગોવા પ્રાઇડ ઓફ સ્મૂથનેસ વ્હીસ્કી 180 એમએલની 20 બોટલ કિં.રૂ. 2,220 તેમજ માઉન્ટ્સ 6000 સુપર સ્ટ્રોંગ બીયરના 500 એમએલના 4 ટીન કિં.રૂ. 400 મળી કુલ કિં.રૂ. 10,012નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે ઘોઘારોડ પોલીસે સંજય ઉર્ફે કોભાંડ ભોળાભાઈ રાઠોડ ઝડપી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:53 pm

રાજકોટ સેશન્સ કોર્ટનો ચુકાદો:માતાની જુબાનીના આધારે પુત્રની હત્યા નિપજાવનાર પિતાને દોષિત ઠરાવી આજીવન કેદની સજા અને 25,000નો દંડ ફટકારાયો

રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા હત્યા કેસમાં આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગત તા.09.03.2023ના રોજ મોડી રાત્રે આરોપી બટુકભાઈ ચનાભાઈ કુકડીયા (ઉ.વ.55) એ તેમના જ પુત્ર મહેશ બટુકભાઈ કુકડીયા (ઉ.વ.31)ની હત્યા નિપજાવી હતી જે કેસમાં માતાની જુબાની ધ્યાન પર લઇ રાજકોટના અધિક સેશન્સ જજ આઈ.બી. પઠાણ દ્વારા હત્યાના કેસમાં આરોપી પિતાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.25,000નો દંડ ફરમાવ્યો છે. બ્લેન્કેટ ઉચુ કરીને જોયું તો તેના મોઢામાથી લોહી નિકળતુ હતુ ગત 10.03.2023ના રોજ ફરીયાદી રેખાબેન બટુકભાઈ કુકડીયાએ ભાડલા પોલીસ સ્ટેશનમા નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તા.09.03.2023ના રોજ પુત્ર મહેશ કુકડીયા કનેસરા ગામે પોતાની વાડીએ પાણી વાળવા ગયો હતો અને ત્યા વાવેતરની બાજુમા સુઈ જતો હતો સવારના પાછો ન આવતા ફરીયાદી પોતાના દિકરાની તપાસ કરવા વાડીએ ગયા હતા ત્યાં બ્લેન્કેટ ઉચુ કરીને જોયું તો તેના મોઢામાથી લોહી નિકળતુ હતુ અને કપાળના ભાગે ચીરો પડી ગયેલો હતો. આ હત્યા ફરિયાદીના પતિ આરોપી બટુકભાઈ ચનાભાઈ કુકડીયાએ કરી હોવાનુ જણાવ્યું હતું જેના આધારે પોલીસે આરોપી બટુક કુકડીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ લાકડી વડે માથા ઉપર ઘા મારી પુત્ર મહેશની હત્યા નિપજાવી છે જેથી પોલીસે લાકડી કબ્જે કરી હતી અને તેના ઉપર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. તપાસ બાદ પોલીસે ચાર્જશીટ રજૂ કરતા કેસ ચલાવવામાં આવ્યો હતો. કપડા ઉપર કોઈ લોહીના ડાઘ નથી કેસ ચાલતા આરોપી પક્ષે બચાવ લેવામાં આવ્યો હતો કે, આ ગુન્હાના કોઈ નજરે જોનાર સાક્ષી નથી તેમજ આરોપીના કપડા ઉપર કોઈ લોહીના ડાઘ નથી તેથી પુત્રની હત્યા આરોપીએ કરેલ હોવાનુ માની શકાય નહી. જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, મૃતક મહેશ કુકડીયાનુ લોહી 'એ' ગૃપનુ છે તેમજ આરોપી બટુકભાઈ કુકડીયાનુ લોહી પણ 'એ' ગૃપનુ છે. તપાસ દરમ્યાન જે લાકડી મળી આવી હતી તે લાકડી ઉપર પણ 'એ' ગૃપનુ લોહી છે. તપાસ દરમ્યાન આરોપી બટુક કુકડીયાએ શોધી આપેલ લાકડી ઉપર 'એ' ગૃપનુ લોહી હોવાનું સામે આવ્યું છે, જે લોહીનુ ગૃપ મૃતક મહેશ કુકડીયાનુ છે. બટુક કુકડીયાએ જ આ લાકડી વડે પુત્રની હત્યા કરી આરોપી બટુક કુકડીયાએ જયારે એ ગૃપવાળા લોહી વાળી લાકડી કાઢી આપી ત્યારે તેટલા માત્રથી સાબિત થાય છે કે, આરોપી બટુક કુકડીયાએ જ આ લાકડી વડે પુત્રની હત્યા કરી છે. ગુન્હામા આ લાકડીનો ઉપયોગ કરેલ ન હોય તો આરોપી બટુક કુકડીયાને લોહીના 'એ' ગૃપવાળી આ લાકડી અંગે કોઈ જ જાણ ન હોય. હાલના કેસમા જયારે ફરીયાદી રેખાબેને પોતાના પુત્રની હત્યા પોતાના પતિએ જ કરી હોવાનુ જણાવ્યું છે ત્યારે આરોપીએ કાઢી આપેલ લાકડી સચોટ પુરાવા તરીકે માન્ય છે. આરોપી બટુક કુકડીયા પોતે રખડતો ભટકતો રહી હમેશા દિકરાઓ પાસે પૈસાની માગણી કરી કુટુંબને હેરાન પરેશાન કરતો અને તેથી આરોપી પોતાના દિકરાઓ સાથે હમેશા ઝઘડાઓ કરતો. આવા જ કારણસર આરોપીએ પોતાના સગા પુત્રની હત્યા કરી છે. આ પ્રકારનો ખુદ પત્નિનો જ આક્ષેપ હોય ત્યારે આક્ષેપ ખોટો માનવાને કોઈ કારણ નથી. આજીવન કેદની સજા અને રૂ.25,000નો દંડ ફરમાવ્યો સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણ દ્વારા આરોપી બટુક ચનાભાઈ કુકડીયાને પોતાના પુત્રની હત્યા કરવા બદલ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.25,000નો દંડ ફરમાવ્યો છે. આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરા રોકાયા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:35 pm

અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના:ધો.10ના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં; પોલીસ ઘટનાસ્થળે

અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ જેવી વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યાની બીજી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. શું હતો સેવન્થ-ડે સ્કૂલનો સમગ્ર મામલો?19 ઓગસ્ટ, 2025ના દિવસે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ એટલે કે, 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના CCTV સામે આવ્યા હતાં. મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે. બપોરે 12:53 કલાકે નયનને જ્યાં ઇજા પહોંચી એ પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે. આ પણ વાંચો... 'સેવન્થ ડે'ની પોલ ખોલતો વીડિયો, લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો, પહેલીવાર સામે આવ્યા CCTV જોકે થોડીવાર બાદ નયન ઢળી પડતાં આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થઈ જાય છે. આ દરમિયાન સ્કૂલના સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ મદદ કરવામાં આવી નહોતી અને લોકો ત્યાં ઊભાં ઊભાં માત્ર બધું જોઈ રહ્યા હતા. ત્યાર બાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતાં પણ જોવા મળી રહ્યાં છે. આ ઘટનામાં સ્કૂલની બેદરકારી હોવાનું જણાવી વાલીઓએ રોષે ભરાઈને વિરોધ નોંધાવી સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટના બાદ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં વિદ્યાથીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3 ઓક્ટોબરે ધો.10 અને 12ના વિદ્યાથીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો આ પણ વાંચો: સ્ટુડન્ટના પેટમાં છરી નહીં, ફિઝિક્સનું સાધન ભોંક્યું: નજરે જોનારનો દાવો આ પણ વાંચો: સ્કૂલ સ્ટાફને માર મારી બેફામ તોડફોડ, સેવન્થ ડે સ્કૂલના ધો.8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટની હત્યા કરતા સ્થિતિ વણસી હતી આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:32 pm

જૂનાગઢ વોર્ડ-6 માં ગટર પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ:જૂનાગઢમાં ભાજપ શાસનમાં 'રામ ભરોસે' જનતા: 'અધિકારી અમારું નથી માનતા' કહી ભાજપના કોર્પોરેટરે લાચારી વ્યક્ત કરી, કિંગ રેસીડેન્સીમાં ગટરના પાણી ઉભરાતા રોષ

જૂનાગઢ મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઇનના કામો ચાલી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરના વોર્ડ નંબર 6 માં આવેલી કિંગ રેસીડેન્સીમાં છેલ્લા 25 દિવસથી ભૂગર્ભ ગટરના કામને કારણે નર્ક જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સ્થાનિક મહિલાઓએ રોષે ભરાઈને ભાજપના કોર્પોરેટરનો ઉધડો લીધો હતો. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ખુદ સત્તાધારી પક્ષના કોર્પોરેટરે જ સ્વીકાર્યું છે કે તંત્રના અધિકારીઓ તેમનું સાંભળતા નથી. ​'અમારી આબરૂ કેટલીક હેઠી કાઢવી?' - કોર્પોરેટરની લાચારી ​વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટર જસવંતીબેન કેસવાલાએ જનતાના રોષ સામે પોતાની લાચારી વ્યક્ત કરતા સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વોટર વર્કસ શાખાના અધિકારીઓ અમારું માનતા નથી. અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન દેતું નથી. હવે પ્રજા વચ્ચે જઈએ તો અમારી આબરૂ કેટલીક હેઠી કાઢવી? ભાજપના નેતાઓ કે અધિકારીઓ અહીં ફરકતા પણ નથી. આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે જૂનાગઢ મનપામાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે જનતા હાલાકી ભોગવી રહી છે. ​25 દિવસથી કિંગ રેસીડેન્સીમાં 'નરકાગાર' જેવી સ્થિતિ ​કિંગ રેસીડેન્સીની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 25 દિવસથી ગટર ખોદીને અધૂરી મૂકી દેવામાં આવી છે. ગટરના ગંદા પાણી ઉભરાઈને શેરીઓમાં અને હવે ઘરોમાં ઘૂસવાની તૈયારીમાં છે. મચ્છરોનો ત્રાસ વધી ગયો છે અને બાળકો બીમાર પડી રહ્યા છે.સ્થાનિક મહિલા ઉર્મિલાબેન વાળાએ ગુસ્સામાં કહ્યું કે ચૂંટણી વખતે મોટા મોટા વાયદા કરીને મત લેવા આવતા ભાજપના નેતાઓ હવે ક્યાં ઉડી ગયા છે? રોડ બનાવવાની મોટી વાતો કરતા હતા, પણ અત્યારે ગટરના પાણીમાં અમારે રહેવું પડે છે. અમારે ત્યાં કચરાની ગાડી કે એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી સ્થિતિ નથી. ​ડિલિવરી કે બીમારીના કિસ્સામાં વાહન આવવું પણ અશક્ય ​અન્ય એક સ્થાનિક કાંચનબેન ભેસાણીયાએ પોતાની પીડા ઠાલવતા કહ્યું કે, મારા ઘરે ડિલિવરીનો ખાટલો છે, છતાં રસ્તા એટલા ખરાબ કરી નાખ્યા છે કે કોઈ વાહન અંદર આવી શકતું નથી. અમે ગટર ખોદવાની ના પાડી હતી છતાં બળજબરીથી ખોદીને વયા ગયા. હવે કોઈ જવાબ આપવા તૈયાર નથી. ૧૦૮ ની જરૂર પડે તો પણ રસ્તો બંધ છે. શિયાળામાં અમને ચોમાસા જેવો અનુભવ થઈ રહ્યો છે. ​તંત્રનો લૂલો બચાવ: તપાસના આદેશ ​આ સમગ્ર મામલે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર જાડેજાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 6 ની રજૂઆત મળતા જ વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. એક ટીમ સ્થળ તપાસ માટે મોકલવામાં આવી છે અને એજન્સીને આ કામ સત્વરે પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવશે. પરંતુ લોકો પૂછી રહ્યા છે કે કરોડોના ખર્ચે થતા ગટરના કામોમાં મોનિટરિંગ કેમ નથી ? જો અધિકારીઓ કોર્પોરેટરનું નથી માનતા, તો સામાન્ય જનતાનું કોણ સાંભળશે ? અધૂરા કામને કારણે ફેલાતી બીમારીઓની જવાબદારી કોણ લેશે ? ત્યારે જોવાનું એ રહે છે કે આ 'ગટર ગંગા' માંથી કિંગ રેસીડેન્સીના રહીશોને ક્યારે મુક્તિ મળે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:28 pm

ગુજરાતના ટોચના નેતાઓને દિલ્હીનું તેડું:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈ CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ 2 દિવસ હાજરી આપશે

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગુજરાત ભાજપના ટોચના નેતાઓ બે દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. 19 જાન્યુઆરીએ નામાંકન અને 20 જાન્યુઆરીએ અધ્યક્ષની જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણીઓ દિલ્હી જશે. સાંસદો, ધારાસભ્યો સહિતનાનો સમાવેશગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં પ્રસ્તાવક તરીકે ભાગ લેવા માટે અનેક વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણિયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષો, પૂર્વ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તથા વિવિધ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓનો સમાવેશ થાય છે. અનુભવી નેતાઓને વિશેષ આમંત્રણઆ ઉપરાંત, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે વિશેષ આમંત્રિત સભ્યો તરીકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના અનુભવી નેતાઓ દિલ્હી ઉપસ્થિત રહેશે. હર્ષ સંઘવી નહિ જઈ શકેઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે હોવાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં તેઓ દિલ્હી હાજર રહી શકશે નહીં.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:25 pm

અમરેલીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક:જિલ્લા સંકલન સમિતિએ પ્રજાલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરી

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય મહેશ કસવાલા, જે.વી. કાકડીયા અને જનક તળાવિયા સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિએ પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી હતી. બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના આંતરિક તથા જોડતા રસ્તાઓની સ્થિતિ, બગસરા GIDC ખાતેના કારખાનાઓમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણનો મુદ્દો રજૂ કરાયો હતો. આ ઉપરાંત, નવા આધારકાર્ડ બનાવવા અને અપડેટ કરવાના કેન્દ્રોની સુવિધા, ગૌચર જમીન ફાળવણી જેવા પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા થઈ હતી. વધુમાં, બગસરા-હામાપુર હાઈવે પર વૃક્ષોનું કટીંગ, સાવરકુંડલા ચોકડી નજીક જર્જરિત પુલ માટે ડાયવર્ઝન, મુંજીયાસર-રફાળા રોડ પહોળો કરવો, લીલીયા ખાતે નવા બસ સ્ટેશનના બાંધકામની ગુણવત્તા, રાજુલા અને વેરાવળ ST બસની નિયમિતતા, અને કૃષિ રાહત પેકેજ વર્ષ 2025 અંતર્ગત ચૂકવણા સહિતની બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે રજૂ થયેલા તમામ પ્રશ્નોની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા અને નાગરિકોના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવા માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા અને ઘટતું કરવા સૂચના આપી હતી. કલેક્ટરે જિલ્લાની વિવિધ શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે રસોડાની સ્વચ્છતા, નિયમિતતા, સ્ટોક મેનેજમેન્ટ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સામગ્રી અંગે સતત દેખરેખ અને મોનીટરીંગ રાખવા પણ અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા, રાજુલા પ્રાંત અધિકારી ડૉ. મેહુલ બરાસરા, લાઠી પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટ, કાર્યપાલક ઇજનેર ધોળાવાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા, તાલુકા અને શહેર મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:24 pm

સોમનાથ: 1.5 કિલો ચરસ સાથે યુપીનો શખ્સ ઝડપાયો:SOGએ પ્રભાસ પાટણ ત્રિવેણી રોડ પરથી રૂ. 3.75 લાખનો જથ્થો પકડ્યો

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, ગીર સોમનાથ SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે પ્રભાસ પાટણમાંથી ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે પ્રભાસ પાટણના ત્રિવેણી રોડ પર સ્મશાન ઘાટ તરફ જતા માર્ગે એક વ્યક્તિ ચરસનો જથ્થો વેચવા આવ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમે વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે મેરઠ, ઉત્તર પ્રદેશના રહેવાસી માનસિંહ ઉર્ફે રાજુ સમરુસિંહ સૈની (ઉંમર 53)ને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી આશરે 1.5 કિલો ચરસ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત રૂ. 3,75,000/- આંકવામાં આવી છે. પોલીસે ચરસનો જથ્થો જપ્ત કરીને આરોપી વિરુદ્ધ NDPS અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ નશાકારક પદાર્થ ક્યાંથી લાવ્યો હતો, કોને વેચવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. જિલ્લા પોલીસ તંત્ર નશા મુક્ત સમાજના નિર્માણ માટે કટિબદ્ધ છે. નશાકારક પદાર્થોના વેપારમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:16 pm

વડોદરામાં સામાજિક કાર્યકરની અનોખી પહેલ:શહેરના વોર્ડ નં.8માં માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનું સફળ આયોજન,1500 મહિલાને નિઃશુલ્ક તીર્થયાત્રા

વડોદરા શહેરમાં અનેકવાર આશ્ચર્યજનક કાર્યક્રમો આપી સૌને ચોકાવતા અને સામાજિક સેવા માટે જાણીતા સ્વેજલ વ્યાસ દ્વારા હાલમાં અનોખું સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં વોર્ડ નંબર 8ની માતાઓ, બહેનો તેમજ સમગ્ર મહિલાઓ માટે લેવાયેલા સંકલ્પને વાસ્તવિક આકાર આપતી ‘માતૃશક્તિ આશીર્વાદ યાત્રા’નું સફળ આયોજન કરી 1500 બહેનોને યાત્રા કરાવી હતી. હજુ 15 હજાર બહેનોને આ યાત્રા કરાવવાનો સંકલ્પ કર્યો છે. 27 બસો દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક રીતે તીર્થયાત્રાસ્વેજલ વ્યાસ દ્વારા આયોજિત આ યાત્રા અંતર્ગત વોર્ડ નં. 8ની કુલ 15,000 મહિલાને વિવિધ પવિત્ર તીર્થધામોના દર્શન કરાવવાના સંકલ્પના પ્રથમ ચરણમાં ગઈકાલે 1500 મહિલાઓને 27 બસો દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક રીતે તીર્થયાત્રા કરાવવામાં આવી હતી. આ યાત્રામાં સાળંગપુર, કોટગણેશ, ધર્મજ તથા બુટભવાની જેવા પવિત્ર સ્થળોના દર્શનનો સમાવેશ થયો હતો. માતાઓ-બહેનોએ સંપૂર્ણ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યોઆયોજકો દ્વારા મહિલાઓની સલામતી, સારી વ્યવસ્થા તેમજ તમામ પ્રકારની સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. યાત્રામાં સહભાગી થયેલી માતાઓ અને બહેનોએ આ નિઃસ્વાર્થ સેવાકાર્ય માટે આયોજક સ્વેજલ વ્યાસ તથા સંપૂર્ણ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. 12,000 મહિલાને તબક્કાવાર તીર્થયાત્રા લઈ જવાશેઆ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે, બાકી રહેલી આશરે 12,000 મહિલાઓને પણ તબક્કાવાર આ જ પવિત્ર તીર્થયાત્રાનો લાભ અપાવવાનું આયોજન નિશ્ચિત કરવામાં આવ્યું છે, જેથી વોર્ડ નં.8ની દરેક માતૃશક્તિ આ આશીર્વાદનો લાભ લઈ શકશે. માતૃશક્તિના આશીર્વાદ સાથે શરૂ કરાયેલો આ સંકલ્પ માત્ર વચનબદ્ધ ન રહીને વાસ્તવિક કાર્યરૂપે સાકાર થઈ રહ્યો છે, જે વોર્ડ નંબર 8માં સેવા, સમર્પણ અને વિશ્વાસનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:09 pm

હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીની ધરપકડ:સુરતમાં મિત્રને ચપ્પુ બતાવી 7 લાખની કાર પડાવી UP ફરાર થઈ ગયો; લુણાવાડાના કરોડોના સાયબર ફ્રોડમાં પણ સંડોવણી

હિંદુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેણે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. સુરતમાં મિત્રને જ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી 7 લાખની કાર પડાવી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુસુફને UPથી ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસના જણાવ્યા અનુસાર, કમલેશ તિવારી હત્યા કેસ જેવો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવા છતાં, યુસુફ પઠાણ સતત અસામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યો છે. ખંડણી અને સાયબર ફ્રોડની ઘટનામાં પણ તે શામેલ છે. તેણે જેલમાંથી બહાર આવીને પોતાની ગેંગ શરૂ રાખી છે. યુસુફે મિત્રને ચપ્પુ બતાવી ક્રેટા કાર પડાવી લીધીતાજેતરમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યુસુફ પઠાણે પોતાના જ પરિચિત મોહંમદ ઇકબાલ પાસેથી બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી લીધી હતી. ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેણે ધંધાના કામ માટે લોન પર કાર ખરીદી હતી. જૂન, 2025માં યુસુફે ઇકબાલને ચપ્પુ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની કાર અને ત્યારબાદ તેની આરસી બુક પણ પડાવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે કારના હપ્તા હજુ પણ ફરિયાદી ભરી રહ્યો છે, જ્યારે કુખ્યાત યુસુફ તે કારમાં બિન્દાસ ફરી રહ્યો હતો. ફરિયાદીને સતત ધમકાવી પોલીસ પાસે જતા રોકવાનો પ્રયાસ કર્યોપોલીસે ઇકબાલની ફરિયાદના આધારે યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ સામે ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે. યુસુફે માત્ર 1 કાર જ નહોતી પડાવી, પરંતુ ફરિયાદીને સતત ધમકાવીને તેને પોલીસ પાસે જતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની કડક પૂછપરછમાં યુસુફની તમામ શિખામણો ઓગળી ગઈ હતી અને હવે તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પોલીસ હાલમાં એ પણ તપાસી રહી છે કે, તેણે અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે મિલકતો પડાવી છે. લુણાવાડામાં 3 કરોડનું સાયબર ફ્રોડ, ડિજિટલ ક્રાઈમમાં પણ યુસુફની સંડોવણીયુસુફ પઠાણ માત્ર રસ્તા પરની ગુંડાગર્દી પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે તેના તાર સાયબર ક્રાઈમ સાથે પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. મહિસાગર જિલ્લાના લુણાવાડામાં નોંધાયેલા 3 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના કેસમાં તપાસ દરમિયાન યુસુફ પઠાણનું નામ ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ સાયબર કૌભાંડમાં મોટી રકમની હેરાફેરી કરવામાં આવી હતી અને તેમાં યુસુફની મુખ્ય ભૂમિકા હોવાની શંકા છે. આ ઘટના દર્શાવે છે કે તે હવે શારીરિક હિંસાની સાથે સાથે ડિજિટલ માધ્યમથી પણ આર્થિક ગુનાઓ આચરી રહ્યો છે. લુણાવાડા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે અને ટૂંક સમયમાં તેઓ સુરત આવીને યુસુફનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવશે. આ પણ વાંચો... હિન્દુવાદી નેતાની હત્યામાં છુટેલા યુસુફખાનની ગેંગ ફરી એક્ટિવ, લિંબાયતમાં સાગરિતોએ આતંક મચાવ્યોપોલીસને મોટા આંતરરાજ્ય સાયબર નેટવર્કની શંકાસાયબર ફ્રોડના આ કેસમાં યુસુફની સંડોવણીથી પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. 3 કરોડ જેવી મોટી રકમની છેતરપિંડીમાં યુસુફના બેંક ખાતાઓ અને તેના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે તે કોઈ મોટા આંતરરાજ્ય સાયબર નેટવર્કનો ભાગ હોઈ શકે છે. એક તરફ હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ અને બીજી તરફ મલ્ટી-કરોડ સાયબર ફ્રોડ, યુસુફ પઠાણનો ગુનાહિત આલેખ સતત વધી રહ્યો છે. સુરત પોલીસે હાલમાં તેના રિમાન્ડ મેળવીને તેની ઊંડી પૂછપરછ શરૂ કરી છે. આગામી દિવસોમાં યુસુફની ટોળકીના અન્ય સભ્યોની પણ ધરપકડ થવાની શક્યતા છે, જેનાથી આ મોટા સાયબર રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. કમલેશ તિવારીની કાર્યાલયમાં ઘૂસીને નિર્મમ હત્યામાં યુસુફની સંડોવણીઉત્તર પ્રદેશના લખનૌમાં હિંદુવાદી નેતા કમલેશ તિવારીની તેમના જ કાર્યાલયમાં ઘૂસીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેણે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી હતી. આ હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસમાં સુરતના લિંબાયત વિસ્તારના યુસુફ પઠાણની સંડોવણી સામે આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. યુસુફ પઠાણની ગુનાહિત માનસિકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે હત્યાકાંડમાં જેલમાંથી બહાર આવ્યા પછી પણ સામાન્ય નાગરિકોને ધાક-ધમકી આપી રહ્યો હતો. કમલેશ તિવારીની હત્યાના ગંભીર આરોપો હોવા છતાં, તેના વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. લિંબાયત પોલીસે તેની ધરપકડ કરી છે. શું છે કમલેશ તિવારી હત્યા કેસ?18 ઓક્ટોબર, 2019ના દિવસે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. ત્યારે કમલેશ તિવારીને ઈલાજ માટે ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ખુર્શીદ બાગ સ્થિત હિન્દુ સમાજ પાર્ટીના કાર્યાલય પર ચા પીવા આવેલા કેટલીક વ્યક્તિ આવી હતી, જેઓ મિઠાઈના ડબ્બામાં ચાકુ અને તમંચો લઈને આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો નાસી છૂટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મુહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ થઈ હતી. UPમાં હત્યા થઈ અને એક મીઠાઈના બોક્સના આધારે ATSએ સુરતથી હત્યારા શોધી કાઢ્યાકમલેશ તિવારીની હત્યા થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી ઉત્તરપ્રદેશ પોલીસને મીઠાઈનું બોક્સ મળી આવ્યું હતું, જેના પર ધરતી નમકીન લખ્યું હતું. આ દુકાન સુરતના ઉધના વિસ્તારમાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે ઉત્તરપ્રદેશ પોલીસે ગુજરાત ATSને જાણ કરી હતી અને ગુજરાત ATSએ આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:04 pm

જંગલેશ્વરની જમીન ખાલી કરાવવા પાછળ ઉદ્યોગપતિઓને ખટાવવાનો ખેલ:રાજકોટમાં આજી રિવરફ્રન્ટના નિર્માણ માટે 1358 મિલકત ધારકોના છેલ્લા હિયરિંગમાં સ્થાનિકોનો રોસ

રાજકોટના જંગલેશ્વરમાં અંદાજિત રૂ.400 કરોડની 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને કલમ 61 મૂજબ છેલ્લી નોટિસનું આજે હિયરીંગ હતુ ત્યારે સ્થાનિકોએ રોસ ઠાલવતા કહ્યું કે, આજી રિવરફ્રન્ટ કે આજી રિ ડેવલોપમેન્ટ માટેની કોઈ વાત જ નથી. ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને ખટાવવા માટેનો ખેલ છે. અમને રાજકોટના રાજા મનોહરસિંહ જાડેજાએ જમીન ફાળવી હતી 70 વર્ષથી અમે અહીં રહીએ છીએ પરંતુ સરકારને અત્યારે જ આ સરકારી જમીન પર દબાણ હોવાનું યાદ આવ્યું છે. અહીં 1358 નહીં પરંતુ 4200 મકાનોના 25000 લોકોનો પ્રશ્ન હોવાનું કહી ન્યાયની માંગણી કરી હતી. જંગલેશ્વર શેરી નંબર - 3 માં રહેતા આમદભાઇ નાઈએ જણાવ્યું હતુ કે, રાજકોટના રાજા મનોરસિંહ જાડેજા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં 1954 અને 1956 માં જમીન આપવામાં આવી હતી. અમે અહીં 70 વર્ષથી રહીએ છીએ. જોકે સરકારને અત્યારે યાદ આવ્યું છે કે અહીં દબાણ છે. અહીં હાલમાં 1358 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે અને તે અગાઉ 922 મકાન ધારકોને નોટિસ આપવામાં આવેલી છે. જેથી 4200 પરિવારો ઘર વિહોણા થઈ રહ્યા છે. અહીં આજી રી ડેવલોપમેન્ટ માટે જમીન ખાલી કરવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ હકીકત એ છે કે બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને ખટાવવા માટેનો ખેલ છે. જોકે સરકાર તરફથી અમને ન્યાયની અપેક્ષા છે. મિલકત ધારકોને આપવામાં આવેલી નોટિસમાં લખાયું છે કે, ટીપી સ્કીમ નં.6 ના એફ. પી. નં. 159 પૈકીમાં ગેરકાયદેસર કબજો મેળવવામાં આવેલો છે. જેથી દંડ વસુલાત કરી જમીન ખુલ્લી શા માટે ન કરાવવી? અને અન્ય કાયદાકીય પગલા શા માટે ન લેવા ? જેમકે સાંભળવા માટે હિયરિંગ રાખવામાં આવ્યું છે. જે સમયે આધાર પુરાવા રજૂ કરવા અને ત્યારબાદ જો સરકારી જમીન ઉપર દબાણ હોવાનું સાબિત થશે તો દંડનો હૂકમ કરી કલમ 202 હેઠળ દબાણ દૂર કરવામાં આવશે. નોંધનીય છે કે, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણરૂપ 1358 આસામીઓને કલમ - 61 મૂજબ નોટિસ આપવામાં આવેલી છે. જેમાંથી 390 આસામીઓએ પૂર્વ વિભાગના મામલતદાર સમક્ષ પોતાના દાવાઓ રજૂ કર્યા છે. જ્યારે મિલકત અંગેના પોતાના હક્ક દાવાઓ રજૂ ન કરતા 968 આસામીઓને બીજી નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કરેલો છે. જે બાદ 390 મિલકતધારકો એવા છે કે જેઓએ હજુ પણ પોતાનો જવાબ રજૂ કર્યો નથી જેથી તેઓને ત્રીજી નોટિસ આપવામાં આવી હતી. જેનું આજે 19 જાન્યુઆરીના હિયરિંગ રાખવામાં આવ્યું હતુ. જેઓને સાંભળ્યા બાદ જે આસામીઓ જમીન પર પોતાનો કાયદેસરનો હક પ્રસ્થાપિત નહીં કરી શકે તેઓને કલમ 202 મૂજબ નોટિસ આપવામાં આવશે. જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ પણ અગાઉ દાખલ કરવામાં આવેલી છે. જેનો મતલબ એ થાય છે કે, જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણ દૂર કરવા બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા હાઇકોર્ટ દ્વારા વહીવટી તંત્રને સાંભળવામાં આવે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 12:03 pm

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસની સરપ્રાઈઝ ચેકિંગથી આવારા તત્વોમાં ફફડાટ:બિનજરૂરી પડ્યા પાથર્યા રહેતા શખ્સોને બહાર કાઢવામાં આવ્યા

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલના પટાંગણમાં અને વોર્ડની આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો અને નશાખોરીની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવવા માટે રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડા દ્વારા પ્રદ્યુમ્નનગર પોલીસને રજુઆત કરવામાં આવી હતી. જેને લઈને આજરોજ પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બિનજરૂરી રીતે અહીં પડ્યા પાથર્યા રહેતા શખ્સોને શોધીને બહાર કાઢવામાં આવ્યા હતાં. પોલીસની આ કાર્યવાહીથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કેટલાક શખ્સો દારૂ અને ગાંજા જેવા નશાની હાલતમાં રખડતા હોય છેસિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે અહીં કેટલાક શખ્સો દારૂ અને ગાંજા જેવા નશાની હાલતમાં રખડતા હોય છે. આ શખ્સો માત્ર હોસ્પિટલના વાતાવરણને જ નથી બગાડતા, પરંતુ દર્દીઓ અને તેમના સગાઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ ઉભો કરે છે. અવારનવાર લોકફરિયાદો મળીરોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, તેમને અવારનવાર લોકફરિયાદો મળી રહી હતી કે હોસ્પિટલ પરિસરમાં એવા લોકો પણ વસવાટ કરે છે જેઓ દર્દીના સગા નથી. આ અસામાજિક તત્વો દ્વારા દર્દીઓના સગાઓ સાથે ઘર્ષણ થવાની અને નશાની હાલતમાં નકામો હોબાળો મચાવવાની ઘટનાઓ પણ બનતી હોય છે. હોસ્પિટલમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગરાજાભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના PIને જાણ કરી હતી. અને હોસ્પિટલમાં તાત્કાલિક સરપ્રાઈઝ ચેકિંગની માંગ કરી હતી. જેથી શંકાસ્પદ તત્વોને પકડી શકાય. તેમની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હોસ્પિટલના દરેક ખૂણા, પાર્કિંગ એરિયા અને વોર્ડની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જે લોકો પાસે હોસ્પિટલના પાસ નહોતા અથવા જેઓ દર્દીના સગા હોવાનું સાબિત ન કરી શક્યા, તેવા તમામ બિનજરૂરી લોકોને હોસ્પિટલ પરિસરની બહાર કાઢવામાં આવ્યા હતા. પહેલાં પણ દારૂની ખાલી બોટલો મળી હતીઅગાઉ પણ સિવિલ હોસ્પિટલમાંથી દારૂની ખાલી બોટલો મળી આવવાની ઘટનાઓ બની ચૂકી છે. તે સમયે ચાવડાએ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ, RMO અને સિક્યુરિટી ઇન્ચાર્જને આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. હોસ્પિટલની સુરક્ષા માટે જવાબદાર એજન્સીની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. અગાઉ આ મુદ્દે એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ સત્તાવાર રિપોર્ટ સામે આવ્યો નથી. આ અંગે રાજાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં આ તપાસ સમિતિના રિપોર્ટ બાબતે પણ પૃચ્છા કરશે અને હોસ્પિટલના સત્તાધીશો પાસે જવાબ માંગશે. પોલીસના સરપ્રાઈઝ ચેકિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કોઈ અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત વાતાવરણમાં સારવાર લઈ શકે તે હેતુથી આ કાર્યવાહી ખૂબ જ જરૂરી હતી. પોલીસના સરપ્રાઈઝ ચેકિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જોકે સ્થાનિક લોકોનું માનવું છે કે આવી તપાસ સમયાંતરે થતી રહેવી જોઈએ. હોસ્પિટલ પ્રશાસને પણ પોતાની સિક્યુરિટી વ્યવસ્થા વધુ મજબૂત કરવી પડશે જેથી નશાખોરો અને રખડતા તત્વો હોસ્પિટલમાં પ્રવેશતા અટકી શકે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:58 am

જામનગરમાં ફૂડ-પાણીના સેમ્પલ લેવાયા:મહાનગરપાલિકાએ 60 સ્થળોએ ચેકિંગ કરી 60 નમૂના લીધા

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત સપ્તાહ દરમિયાન શહેરના 60 જેટલા સ્થળોએ તપાસ કરીને ફૂડ અને પીવાના પાણીના કુલ 60 નમૂના લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અંતર્ગત શહેરની જુદી જુદી દુકાનો અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા 40 જેટલા એકમોમાં ચેકિંગ કરાયું હતું. અહીંથી ચીકી, તલ-રાજગરાના લાડુ, દેશી ગોળ, ફાફડા, જલેબી, ઓઈલ, બેસન અને ઊંધિયા સહિતના કુલ 40 ફૂડ નમૂના લઈ પરીક્ષણ અર્થે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આ કામગીરી કમિશનર ડી.એન. મોદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સંભવિત રોગચાળાને ધ્યાનમાં રાખીને, શહેરમાં પીવાના પાણીનો વેપાર કરતા 20 જેટલા વિતરકોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીશ ચોકી, સુભાષ માર્કેટ, રણજીત રોડ, ગ્રેઇન માર્કેટ, હવાઈ ચોક જેવા વિવિધ વિસ્તારોમાંથી 20 લૂઝ ડ્રિંકિંગ વોટરના નમૂના લઈ ઢીચડા ખાતેની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, તા. 18/01/2026ના રોજ નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલ હઝરત પીર હાજીશાહ ડાડાની જગ્યાએ યોજાનાર ઉર્ષના મેળામાં ન્યાઝના કાર્યક્રમમાં મીઠા ભાતનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જરૂરી હાઈજેનિક કન્ડિશન જાળવવા અંગેની સૂચનાઓ આપી નિરીક્ષણ કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:52 am

હરિદ્વારથી પવિત્ર ગંગા જળ લાવી તખ્તેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો:સનાતન ધર્મના પ્રચાર અને નશામુક્તિના સંદેશ સાથે ‘ભાગીરથ રન’નું ભાવનગરમાં સંપન્ન

નવયુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મનો પ્રચાર અને યુવા પેઢીને નશામુક્તિ તરફ વાળવાના ઉમદા હેતુ સાથે આયોજિત ભાગીરથ રન ઉત્સાહભેર ભાવનગર શહેરમાં પ્રવેશી છે, હરિદ્વારથી શરૂ થયેલી આ ભવ્ય રનનું અંતિમ ચરણ ભાવનગરના સુપ્રસિદ્ધ તખ્તેશ્વર મહાદેવ મંદિરે ગંગાજળાભિષેક સાથે સંપન્ન થઈ હતી, ​હરિદ્વારથી ખરેડી સુધીની 1400 કિ.મી.ની યાત્રા​આ આયોજનની શરૂઆત ગત તા.27/12/2025 ના રોજ હરિદ્વારથી થઈ હતી અંદાજે 1400 કિલોમીટર જેટલું અંતર રીલે રન દ્વારા કાપીને, દોડવીરો પવિત્ર ગંગાજળ લઈને તા.3/1/2026 ના રોજ જામનગર જિલ્લાના ખરેડી ગામે પહોંચ્યા હતા. ત્યાં ખરડેશ્વર મહાદેવને પ્રથમ ગંગાજળાભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ યાત્રાના બીજા ચરણમાં તા.17/1/2026 ના રોજ ખરેડી ગામથી 30 જેટલા ઉત્સાહી યુવાનો અને પોલીસ જવાનો રીલે રન દ્વારા ગંગાજળ લઈને ભાવનગર આવવા રવાના થયા હતા. આ માર્ગ ​ખરેડી, ગોંડલ અને ઢસામાં ભવ્ય સ્વાગત થયું હતું, ​સાંઢીડા મહાદેવ ખાતે ગંગાજળાભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ​સેંજળીયા, સોનગઢ, શિહોર અને વરતેજ થઈને આ દોડવીરો નારી ચોકડી મારફતે ભાવનગર શહેરમાં પ્રવેશ્યા છે, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ​સમગ્ર રૂટ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા દોડવીરોનું પુષ્પવર્ષા અને જયઘોષ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મની જ્યોત જલાવવી અને આજની યુવા પેઢી જે નશાના માર્ગે જઈ રહી છે, તેમને નશામુક્તિનો મજબૂત સંદેશ આપવાનો છે, આ ભાગીરથ રનના દોડવીરો તખ્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા છે, જ્યાં પવિત્ર ગંગાજળ વડે મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો, નવયુવક ચેરીટેબલ ટ્રસ્ટના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:49 am

ભાવનગરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:LCBએ આનંદનગર વિસ્તારમાંથી એક શખ્સને પકડ્યો

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સનું નામ સંજય ઉર્ફે કોભાંડ ભોળાભાઈ રાઠોડ છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની 48 બોટલ અને 4 બીયરના ટીન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 10,012 આંકવામાં આવી છે. આરોપી સંજય રાઠોડ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:23 am

ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિ મિશન કે નવી સ્કીમ? ગાઝા બોર્ડની મેમ્બરશિપ માટે 9000 કરોડની ઉઘરાણી!

(IMAGE - IANS) Trump Board of Peace Gaza: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા સંકટના ઉકેલ માટે પ્રસ્તાવિત કરવામાં આવેલું 'બોર્ડ ઓફ પીસ'(Board of Peace) અત્યારે વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. ટ્રમ્પ જે રીતે ભારત, પાકિસ્તાન, ઇટાલી અને તૂર્કીયે જેવા દેશોને આ બોર્ડમાં જોડાવા માટે આમંત્રણ મોકલી રહ્યા છે, તેનાથી એવી આશંકાઓ મજબૂત થઈ રહી છે કે આ માત્ર ગાઝા પૂરતી મર્યાદિત કોઈ પહેલ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ને પડકારતી એક નવી વૈશ્વિક વ્યવસ્થા હોઈ શકે છે.

ગુજરાત સમાચાર 19 Jan 2026 11:09 am

ગાંધીનગર હાઈ-વે પર બે અકસ્માતમાં બેના મોત:ચિલોડા નજીક ડમ્પરની ટક્કરે યુવતી અને પ્રાંતિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે રિક્ષાચાલકે જીવ ગુમાવ્યો

ગાંધીનગર જિલ્લામાં નેશનલ હાઈવે પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતોમાં બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. મોટા ચિલોડા અને પ્રાંતિયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં એક મહિલા એક્ટિવા ચાલક અને એક રિક્ષાચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ અકસ્માતો અંગે ચિલોડા અને ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારીપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલની 38 વર્ષીય પુત્રી મોહિનીબેન રવિવારે સવારે એક્ટિવા લઈને માણસાના રંગપુર ગામે સધીમાતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે હિંમતનગર નેશનલ હાઈવે પર મોટા ચિલોડા માહી હોસ્પિટલ પાસે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. રસ્તા વચ્ચે પુત્રીની લાશ જોઈ પિતા સ્તબ્ધઆ અકસ્માત એટલો ભયાનક હતો કે મોહિનીબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પુત્રીના અકસ્માતની જાણ થતા જ પિતા મહેન્દ્રભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રસ્તા વચ્ચે કપડાથી ઢાંકેલી પોતાની પુત્રીની લાશ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. રોડ ક્રેસ કરવા જતાં અજાણ્યા વાહને આધેડને અડફેટે લીધાજ્યારે બીજી ઘટનામાં નાના ચિલોડામાં રહેતા નિવૃત્ત આર્મીમેન જશવંતસિંહ બઘેલના 54 વર્ષિય નાના ભાઈ કમલેશભાઈ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.શનિવારે રાત્રે આશરે એકાદ વાગ્યાના અરસામાં કમલેશભાઈ પ્રાંતિયા ઓવરબ્રિજ પાસે જોગણી માતાના મંદિર સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને પૂરઝડપે ટક્કર મારતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ત્રણ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવીજોકે શરૂઆતમાં લાશની ઓળખ થઈ શકી ન હતી. બાદમાં પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા ફોટો જોઈને પરિવારે લાશની ઓળખ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક કમલેશભાઈની પત્નીનું એક વર્ષ પહેલા જ અવસાન થયું હતું. જ્યારે તેમના મોતના કારણે ત્રણ દીકરીએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બંને અકસ્માતો અંગે ચિલોડા અને ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:08 am

વિજયનગરમાં દંપતીને ધમકી, 8 સામે ફરિયાદ:ઘરે પરત ફરતા યુવકોએ બોલાચાલી કરી

વિજયનગરમાં એક દંપતીને જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી જ્યારે દંપતી ઘરે પરત ફરી રહ્યું હતું. આ વિવાદ ઉત્તરાયણના દિવસથી શરૂ થયો હતો. ઉત્તરાયણના દિવસે વિજયનગરની પાંડવ ફળીમાં એક પરિવાર પોતાના મકાનના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. તે સમયે કેટલાક યુવકોએ તેમની સાથે બિભત્સ ચેનચાળા કર્યા હતા. વાસી ઉત્તરાયણના દિવસે પણ આવી જ ઘટના બની હતી. આ અંગે એક અગ્રણીએ ગામના આગેવાનોને યુવકોની અશોભનીય પ્રવૃત્તિઓ વિશે જાણ કરી હતી. આ તાકીદ છતાં, ગઈકાલે રાત્રે દંપતી ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે યુવકોએ ફરી તેમની સાથે અશોભનીય વર્તન કર્યું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી. આ ઘટના બાદ લગભગ ૧૦૦ થી ૧૫૦ મહિલા-પુરુષોનું એક ટોળું ત્યાં પહોંચ્યું હતું. આ ટોળામાંથી એક મહિલાએ અગ્રણીને હાથમાં ઈંટ ઉગામી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે વિજયનગર પોલીસ સ્ટેશનમાં આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:08 am

ભરૂચના બંબુસરમાં મદ્રસાનો વાર્ષિક ઇનામી જલ્સો:વિદ્યાર્થીઓએ ઇસ્લામી શિક્ષણ આધારિત કાર્યક્રમો રજૂ કર્યા, ઇનામો અપાયા

ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં મદ્રસા એ ગુલશને મદીના દ્વારા વાર્ષિક ઇનામી જલ્સાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મદ્રસાના વિદ્યાર્થીઓએ ઇસ્લામી શિક્ષણ આધારિત નાતશરીફ, કિરાત, બયાનાત અને સવાલ-જવાબ જેવા કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપસ્થિતોએ આ રજૂઆતોને સરાહી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં ધાર્મિક શિક્ષણ પ્રત્યે રુચિ વધારવાનો અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવવા માટે પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો હતો. જલ્સામાં ફાઝિલે નોજવાન આલિમે ઝીશાન મુકર્રિર દ્વારા માર્ગદર્શનાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે ધાર્મિક શિક્ષણ, નૈતિકતા અને સમાજમાં સકારાત્મક મૂલ્યો અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, ખતીબો ઈમામ હઝરત અલ્લામા મૌલાના અલ્તાફ મિસ્બાહી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ધાર્મિક શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, મદ્રસાના શિક્ષકો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો. અંતે, આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:57 am

અમદાવાદમાં પીધેલા કારચાલકે 9 વાહનોને અડફેટે લીધા:ના ચાલવાના હોંશ કે ન સીધું ઉભું રહેવાની તાકાત, લથડિયા ખાતા ડ્રાઈવરને પકડી લોકોએ પોલીસને સોંપ્યો, VIDEO

અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા કારના ચાલક નિતિન શાહે દારૂના નશામાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વાહનોનો કચરણઘાણ વળી ગયો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ કારચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો, જેના આધારે M-ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નશામાં ધૂત ચાલકે એક પછી એક 9 વાહનોને અડફેટે લીધાપ્રાપ્ત માહિતી મુજબ, નિતિન શાહ નામના કારચાલકે અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર રાત્રે દારૂના નશામાં નિયંત્રણ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિત 9 વાહનને ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. કારચાલકને સીધા ઉભા રહેવાના પણ હોંશ ન હતાઅકસ્માત સર્જીને કારચાલક બહાર આવ્યો ત્યારે તેને સીધા ઉભા રહેવાના પણ હોંશ ન હતા. તે વારંવાર નીચે બેસી જતો હતો અને લથડિયા ખાતો એક વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જે આધારે અંદાજ લગાવી શકાય છે કે, કારચલાક કેટલા દારૂના નશામાં હતો. જે બાદ ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને ફોન કર્યો હતો. જે બાદ પોલીસ આવીને લોકોના ટોળા વચ્ચેથી યુવકને લઈ ગઈ હતી. M-ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલકની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી હતી. ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નહીંઅકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ કારચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપતા પહેલા રોષ પણ વ્યક્ત કર્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:53 am

છેલ્લા 3 દિવસમાં જણસીઓની બમ્પર આવક:રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી અને જીરુંની આવકમાં મોટો ઉછાળો, ખેડૂતોમાં ભારે ઉત્સાહ વચ્ચે હજારો વાહનોની લાંબી કતારો જોવા મળી

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જણસીઓની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. ખાસ કરીને કપાસ, મગફળી અને જીરું જેવી મુખ્ય જણસીઓની મબલખ આવકથી યાર્ડ ઉભરાઈ ગયું છે. ગત શુક્રવારથી સોમવાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો યાર્ડમાં દરરોજ 1000 થી વધુ વાહનોની આવક થઈ રહી છે, જે ખેડૂતોના ખેત-ઉત્પાદનોની મજબૂત આવક અને બજારની તેજી દર્શાવે છે. જોકે યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈપણ મુશ્કેલી પડે નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્રવાર 16/01/2026 ના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં અંદાજે 1050 થી વધુ વાહનોની આવક થઈ હતી. આ દિવસે કપાસની આવક 12000 મણ, સોયાબીન 2800 મણ, અળદ 800 મણ, ઘઉં 5000 મણ, ચણા 3800 મણ, મગ 2500 મણ અને લસણની 3400 મણ આવક નોંધાઈ હતી. આ ઉપરાંત સિંગફાડા 4200 મણ, સફેદ તલ 2800 મણ, જીરું 3900 મણ અને કાળા તલની 1000 મણ આવક થઈ હતી. શનિવાર 17/01/2026 ના રોજ પણ આવકનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો અને 1000 થી વધુ વાહનો યાર્ડમાં ઠલવાયા હતા. આ દિવસે કપાસની આવક 11000 મણ, સોયાબીન 4000 મણ, અળદ 2600 મણ અને ઘઉંની 6200 મણ આવક નોંધાઈ હતી. જ્યારે ચણાની આવક વધીને 5400 મણ, મગ 2500 મણ, લસણ 4900 મણ અને સિંગફાડાની આવક 6000 મણ સુધી પહોંચી હતી. સફેદ તલ અને જીરુંની આવક 2500-2500 મણ રહી હતી, જ્યારે કાળા તલ આવક 400 મણ નોંધાઈ હતી. સોમવાર 19/01/2026 ના રોજ યાર્ડમાં આવકનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને અંદાજે 1150 થી વધુ વાહનો નોંધાયા હતા. આ દિવસે મગફળીની રેકોર્ડબ્રેક 125000 મણ એટલે કે 84000 ગુણીની આવક થઈ હતી. કપાસની આવક ફરી 12000 મણ પર પહોંચી હતી. અન્ય જણસીઓમાં સોયાબીન 3000 મણ, અળદ 3600 મણ, ઘઉં 8000 મણ, ચણા 5500 મણ, મગ 2700 મણ અને લસણની 5000 મણ આવક નોંધાઈ હતી. સિંગફાડાની આવકમાં મોટો વધારો જોવા મળતા 12500 મણની આવક થઈ હતી. આ ઉપરાંત સફેદ તલ 2100 મણ, જીરું 5000 મણ અને કાળા તલની 2300 મણ આવક હતી. રાજકોટ યાર્ડમાં જણસીની આ મબલખ આવકને પગલે વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વાહનોને ક્રમવાર પ્રવેશ આપીને ઉતરાઈની કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઈસ ચેરમેન તથા ડિરેક્ટર અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડૂતોને પોતાની જણસી વેચવામાં કોઈ તકલીફ ન પડે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં કપાસના ભાવ રૂ. 1300 થી રૂ. 1600 અને મગફળીના ભાવ રૂ. 1100 થી રૂ. 1450 ની આસપાસ જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને મગફળીનાં ભાવો ટેકાના ભાવની નજીક છે. જેને લઈને ખેડૂતોમાં થોડી રાહતની લાગણી જોવા મળી રહી છે. જો કે અન્ય જણસીઓમાં પ્રમાણમાં ઘણા ઓછા ભાવ મળતા હોવા છતાં રોકડની જરૂર હોવાથી જગતનો તાત પોતાનો માલ વેચવા મજબૂર હોય તેવુ લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:34 am

ગોધરામાં 154 રક્તદાન, 93 થેલેસેમિયા તપાસ કરાઈ:શહીદ હેમુ કાલાણીના શહીદી દિન નિમિત્તે કેમ્પ યોજાયો

ગોધરા ખાતે અમર શહીદ હેમુ કાલાણીના શહીદી દિન નિમિત્તે એક મહા રક્તદાન અને થેલેસેમિયા તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 154 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે 93 લોકોની થેલેસેમિયા માટે તપાસ કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમ ભારતીય સિંધુ સભા, ગોધરા દ્વારા અખંડ ભારતના ક્રાંતિવીર અમર શહીદ હેમુ કાલાણીના 82મા શહીદી દિનની સ્મૃતિમાં યોજાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત આ શિબિરમાં શહીદને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રી સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાન શિબિર અને થેલેસેમિયા તપાસ કેમ્પમાં ભાગ લેનારને પ્રોત્સાહિત કર્યા હતા અને વીર શહીદ હેમુ કાલાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ શહીદ સ્મારક માટે એક લાખ રૂપિયાનું દાન પણ અર્પણ કર્યું હતું. આ બદલ ભારતીય સિંધુ સભા અને સિંધી સમાજ ગોધરા દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પંચમહાલ કલેક્ટરે પણ કેમ્પની મુલાકાત લીધી હતી અને સેવા કાર્ય કરનાર આયોજકો તેમજ રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી હતી. દેશની આઝાદી માટે માત્ર 19 વર્ષની વયે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ હેમુ કાલાણીના જીવન પ્રસંગો યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહે તે હેતુથી આ વિશિષ્ટ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હેમુ કાલાણીનો જન્મ 23 માર્ચ 1923ના રોજ થયો હતો. તેમણે અંગ્રેજ સેનાની હથિયારોથી ભરેલી ટ્રેનને ઉથલાવવાની યોજના બનાવી હતી. આ દરમિયાન તેઓ પકડાઈ ગયા હતા. અંગ્રેજોની આકરી યાતનાઓ છતાં તેમણે પોતાના સાથીદારોના નામ જાહેર કર્યા નહોતા. પરિણામે, 21 જાન્યુઆરી 1943ના રોજ તેમણે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા સાથે ફાંસીના માંચડે ચઢી શહીદી વહોરી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ભારતીય સિંધુ સભાના હોદ્દેદારો સહિત સિંધી સમાજના તમામ આગેવાનો, નવયુવાનો અને યુવતીઓએ આ રક્તદાન રૂપી રાષ્ટ્રસેવામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:28 am

યુથ કોંગ્રેસનોની કારોબારી બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાવનગર શહેર જિલ્લા યુથ કોંગ્રેસ સજ્જ, આગામી દિવસોમાં ગામેગામ જઈ 'લોકસંપર્ક અભિયાન' કરવાનો નિર્ણય

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,આ બેઠકમાં ભાવનગરના જિલ્લાઓના તાલુકાઓમાંથી યુવાનો જોડાયા હતા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ચંદ્રકલા નાગોરી અને રુકમુદિનભાઈ માથુકીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં આગામી ચૂંટણીઓમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટેની ચોકસાઈપૂર્વકની વ્યૂહરચના ઘડવામાં આવી હતી,ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અર્ષમાનખાન જે. બલોચ અને શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજાએ તમામ કાર્યકરોને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવા આહવાન કર્યું હતું. આ બેઠકમાં ભાવનગરના રાજકારણના અનુભવી અને યુવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં સુરેશભાઈ સોલંકી પ્રભારી, ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસ, રાજપાલસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ, યુથ કોંગ્રેસ, લાલભા ગોહિલ પ્રમુખ, ભાવનગર શહેર કોંગ્રેસ, બળદેવભાઈ સોલંકી વિરોધ પક્ષના નેતા, ભાવનગર જિલ્લા પંચાયત આ તમામ મહાનુભાવોએ એકસૂરે જણાવ્યું હતું કે યુવાનો જ પરિવર્તન લાવી શકે છે અને આ વખતે ભાવનગરની જનતા પરિવર્તન માટે તૈયાર છે, જિલ્લા યુથ પ્રમુખ અર્ષમાનખાન બલોચે પોતાના વક્તવ્યમાં સત્તાધારી પક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, યુવાનો હવે જાગી ગયા છે. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે યુથ કોંગ્રેસ આરપારની લડાઈ લડશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દરેક બૂથ પર યુવા કોંગ્રેસનો સૈનિક તૈનાત રહેશે અને જનતાના અવાજને બુલંદ કરશે. અમારી લડાઈ સત્તા માટે નહીં પણ સત્ય અને સામાન્ય માણસના હક માટે છે, આ કારોબારીમાં ભાવનગર જિલ્લા અને શહેરના તમામ વિધાનસભા પ્રમુખો, તાલુકા પ્રમુખો, વોર્ડ પ્રમુખો અને તમામ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બેઠકમાં દરેક તાલુકા અને વોર્ડ વાઈઝ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં ગામેગામ જઈ 'લોકસંપર્ક અભિયાન' કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:16 am

જાહેર રોડ પર ગંદકી કરનાર 9 દુકાન સીલ:ગુરુકુળ, ઘાટલોડિયા, વસ્ત્રાપુરના વેપારીઓ સામે કાર્યવાહી, 145 દુકાન-રેસ્ટોરન્ટને નોટિસ આપી, સવાર-સાંજ સ્પે.સ્કવોડ કાર્યરત

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે છે ત્યારે શહેરમાં લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. કચરો ફેંકી અને અન્ય રીતે ગંદકી કરનારા વેપારીઓ દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરના ગુરુકુળ રોડ, ઘાટલોડિયા સુરધારા સર્કલ, વસ્ત્રાપુર સહિત અલગ અલગ જગ્યા ઉપર ગંદકી કરનાર 9 દુકાનો અને રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહીઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે છે. 145 દુકાનો-રેસ્ટોરન્ટને નોટિસ ઈશ્યૂ કરી 28 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્તછેલ્લા બે દિવસમાં કુલ 100 જેટલી જગ્યા ઉપર તપાસ કરી ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 145 દુકાનો અને રેસ્ટોરન્ટને નોટિસ ઈશ્યૂ કરી 28 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. 1.42 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સવાર-સાંજ સ્પે. સ્કવોડ કાર્યરતજાહેર રોડ પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા, જાહેરમાર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતાં એકમો /શખસો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. સવાર અને સાંજ સ્પે. સ્કવોડ કાર્યરત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:01 am

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કાનપુરા ગામે ખાટલા પરિષદમાં ઉપસ્થિત રહ્યા:શિક્ષણ અને વ્યસનમુક્તિ પર ભાર મૂક્યો, જન્મદિવસ ઉજવ્યો

બનાસકાંઠા જિલ્લાના કાનપુરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરાયું હતું. આ અવસરે રાજ્યપાલે ગ્રામજનોને વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. ખાટલા પરિષદ પૂર્વે, રાજ્યપાલે કાનપુરા ગામે અનુસૂચિત જનજાતિના અગ્રણી મંછાભાઈ માંસાના ઘરે પરિવારજનો સાથે ભોજન પણ લીધું હતું. આ ઉપરાંત, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાનો જન્મદિવસ કાનપુરા ગામમાં ખેડૂત પરિવારોની વચ્ચે ઉજવીને ધન્યતા અનુભવી હતી. ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે શિક્ષણ વિના કોઈનો ઉદ્ધાર શક્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ગુજરાતના ગામડાઓમાં જઈને ખેડૂત ભાઈઓ સાથે સમય વિતાવે છે અને સમાજ ઉત્થાન માટે પ્રયત્નશીલ છે. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું કે ગામના દરેક દીકરા અને દીકરીને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના શ્રેષ્ઠ શિક્ષણ મળવું જોઈએ. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો છે. વ્યસનમુક્તિ અંગે રાજ્યપાલે જણાવ્યું કે વ્યસનો શરીરના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને મહેનતથી કમાયેલા પૈસા સારવારમાં વેડફાઈ જાય છે. તેમણે સ્પષ્ટ અપીલ કરી કે વ્યસન છોડીને અમૂલ્ય જિંદગી બચાવો. સ્વચ્છતા અંગે રાજ્યપાલે મહાત્મા ગાંધીજીના વિચારોને યાદ કરીને જણાવ્યું કે ઘરનું આંગણું એટલું સ્વચ્છ હોવું જોઈએ કે તેને જોઈને ભક્તિ કરવાનું મન થાય. સ્વચ્છ અને સુંદર ગામ દરેકને ગમે છે. તેમણે ગ્રામજનોને અપીલ કરી કે અઠવાડિયામાં ઓછામાં ઓછા 60 મિનિટ ગામની સ્વચ્છતા માટે ફાળવો. વૃક્ષારોપણ અંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગામમાં જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવો. દીકરા કે દીકરીના જન્મદિન નિમિત્તે વૃક્ષ વાવી ત્રણ વર્ષ સુધી તેની યોગ્ય માવજત કરો. ત્રણ વર્ષ બાદ આ વૃક્ષ આપણને સંભાળશે. તેમણે ભારતીય જાતિના વૃક્ષો વાવી ગામને લીલુંછમ બનાવવાની અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આદિવાસી સમાજ પરંપરાગત રીતે પવિત્રતાથી ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતો પોતાની આવક વધારી શકે છે તેમજ જમીનની ફળદ્રુપતા જાળવી શકે છે. આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી આ દિશામાં આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો. પશુપાલન ક્ષેત્ર અંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગાયની નસલ સુધારવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. વિદેશોમાં ક્રોસ બ્રિડિંગ દ્વારા દૂધ ઉત્પાદન વધારવામાં આવે છે, ત્યારે આપણા દેશમાં પણ સેક્સ સોર્ટેડ સીમન જેવી સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ અપનાવી શકાય છે. આ પદ્ધતિથી માત્ર રૂ. 50 જેટલા નજીવા ખર્ચે ગાય વાછરડી જ આપે છે અને પશુઓની ઓલાદમાં ગુણવત્તાત્મક સુધારો શક્ય બને છે તેમ તેમણે જણાવ્યું હતું ખાટલા પરિષદ પૂર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાનપુરા ગામે અનુસૂચિત જન જાતિના અગ્રણી મંછાભાઈ ભુતાભાઈ માંસાના નિવાસસ્થાને જઈ તેમના પરિવારજનો સાથે મકાઈનો રોટલો, ઘઉંની રોટલી, ફોતરાં વગરની મગની દાળ, બટાકા-ફુલાવરની સબ્જી તથા મેથીની સબ્જી સહિતનું દેશી ભોજન ગ્રહણ કર્યું હતું. આ દરમિયાન રાજ્યપાલશ્રીએ પરિવારજનો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, સંવેદના ટ્રસ્ટના પદાધિકારીઓ હસમુખભાઈ પટેલ, જીતુભાઇ પટેલ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:26 am

મોરબીમાં 50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે પકડાયા:અર્ટિકા કારમાંથી 6.55 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક માળિયા ફાટક ચોકડી પાસેથી એલસીબી ટીમે એક અર્ટિકા કારને રોકી હતી. કારમાં સવાર બે શખ્સો પાસેથી 50 ગ્રામ અને 13 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ, અર્ટિકા કાર અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 6,55,890 નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના મુજબ, એલસીબી પીઆઈ એમ.પી. પંડ્યા અને તેમની ટીમ નાર્કોટિક્સ પદાર્થોના વેચાણ અને હેરાફેરી કરનારાઓને પકડવા સક્રિય હતી. આ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે, બે શખ્સો મોરબીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ લઈને પસાર થવાના છે. આ બાતમીના આધારે માળિયા ફાટક ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન હળવદથી જામનગર તરફ જતી અર્ટિકા કાર નંબર GJ 3 MP 4792 ને રોકવામાં આવી હતી. કારમાં સવાર તોસિફમિયા બુખારી (રહે. નવાગામ ઘેડ, જામનગર) અને ઈકબાલભાઈ ચાવડા (રહે. નવા રેલ્વે સ્ટેશન, વડેશ્વર રોડ, જામનગર)ની પૂછપરછ અને તલાશી લેતા તેમની પાસેથી 50 ગ્રામ અને 13 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 1,50,390 ની કિંમતનું ડ્રગ્સ, રૂ. 5 લાખની અર્ટિકા કાર અને રૂ. 5,500 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6,55,890 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તોસિફમિયા હુસેનમિયા બુખારી (ઉં.વ. 35) અને ઈકબાલભાઈ મુસાભાઈ ચાવડા (ઉં.વ. 45) ની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં તોસિફમિયા બુખારી, ઈકબાલ ચાવડા, શરીફ (રહે. જરૂશા, વારાહી, પાટણ) અને સાચોર નજીક નાર્કોટિક્સનો મુદ્દામાલ આપવા આવેલ સફેદ કલરની સ્કોર્પિયો કારનો ચાલકનો સમાવેશ થાય છે. અન્ય બે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:18 am

રાજ્યપાલની સોમનાથ મુલાકાત:પોલીસ એલર્ટ- નાઈટ કોમ્બિંગ, વાહન ચેકિંગ સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સોમનાથ મુલાકાતને પગલે ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગીર સોમનાથ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. રાજ્યપાલની મુલાકાત પૂર્વે જિલ્લાના વેરાવળ, પ્રભાસ પાટણ, તાલાલા અને સુત્રાપાડા વિસ્તારોમાં પોલીસે રાત્રિ દરમિયાન નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમો તૈનાત કરીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સુત્રાપાડા-કોડીનાર રોડ પરથી પસાર થતા વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. વાહનચાલકોના દસ્તાવેજો, ઓળખપત્રો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું. રાત્રિના સમયે સુત્રાપાડા PSI લોહના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હતી. રાજ્યપાલની મુલાકાત દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સતત પેટ્રોલિંગ, પોઈન્ટ ડ્યૂટી અને નજર રાખવાની વ્યવસ્થા ગોઠવી છે. ગીર સોમનાથ પોલીસે સામાન્ય નાગરિકોને પણ સહકાર આપવા અને ચેકિંગ દરમિયાન જરૂરી માહિતી પૂરી પાડવા અપીલ કરી છે. સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખીને રાજ્યપાલની સોમનાથ મુલાકાતને સલામત અને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી 20 અને 21 જાન્યુઆરીના રોજ વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તેઓ ઉમરેઠી ગામે રાત્રિ રોકાણ કરીને પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે ખેડૂતો સાથે પરિસંવાદ પણ કરશે. રાજ્યપાલની બે દિવસીય મુલાકાતને લઈને જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:17 am

કૂવામાં ખાબકેલા દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ:પોરબંદરના રાતીયા ગામે વન વિભાગે ભારે જહેમત બાદ જીવ બચાવ્યો

પોરબંદર તાલુકાના રાતીયા ગામે આજે વહેલી સવારે એક દીપડાનું બચ્ચું વાડીના કુવામાં પડી ગયું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, રાતીયા ગામે કારાભાઈ ભીમાભાઈ રાતીયાની વાડીમાં આવેલા કુવામાં દીપડાનું બચ્ચું અકસ્માતે ખાબક્યું હતું. કુવામાંથી વન્યજીવનો અવાજ આવતા વાડી માલિકે તપાસ કરી હતી, જેમાં દીપડાનું બચ્ચું હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે તાત્કાલિક પોરબંદર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગ (ડિવિઝન) ની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કુવો ઊંડો હોવા છતાં, વન વિભાગના કર્મચારીઓએ કુશળતાપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું. દીપડાના બચ્ચાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. આ સફળ રેસ્ક્યુ બાદ ગ્રામજનોએ પણ રાહત અનુભવી હતી. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં વન્યપ્રાણી જોવા મળે અથવા મુશ્કેલીમાં હોય, તો ગભરાવાને બદલે અથવા સ્વયં રેસ્ક્યુ કરવાને બદલે તુરંત વન વિભાગનો સંપર્ક કરવો. વન્યપ્રાણીના રેસ્ક્યુ સંબંધિત પૂછપરછ કે જાણકારી માટે વન વિભાગના નંબર ૦૨૮૬-૨૨૫૨૪૧૩ અથવા ટોલ ફ્રી નંબર ૧૯૨૬ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:10 am

ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી:5થી વધુને દાઝી ગયેલી હાલતમાં રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં ખસેડાયા, ફાયરની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

સુરત શહેરના ઉદ્યોગ નગરી ગણાતા ઉધના વિસ્તારમાં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5થી વધુ વ્યક્તિઓ દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5 ફાયર સ્ટેશનની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યો છે. પ્લાસ્ટિકનો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુંઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગના 8 ટેન્કર આગ બુઝાવવામાં લાગ્યાઆગની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની ટીમોને રવાના કરવામાં આવી હતી. કુલ 8થી વધુ ફાયર ટેન્કરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. ફાયરના જવાનોએ જીવના જોખમે કારખાનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 5 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી હોસ્પિટલમાં ખસેડાયાઆ દુર્ઘટનામાં 5થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આગનું કારણ અકબંધપ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:09 am

વેરાવળ મચ્છીમાર્કેટમાં મહિલાઓની વ્યાપક રજૂઆત:ધારાસભ્યએ ગંદકી, સફાઈ, લાઈટ, શૌચાલય મુદ્દે તાત્કાલિક ઉકેલ સૂચવ્યો

વેરાવળ ખાતે આજે નગરપાલિકા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ કેમ્પ અંતર્ગત સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સાથે વેરાવળ શહેરના ખારવા વાડ વિસ્તારમાં આવેલ મચ્છીમાર્કેટની સ્થળ મુલાકાત લીધી હતી. મચ્છીમાર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી વિવિધ મૂળભૂત સમસ્યાઓને લઈ સ્થાનિક વેપારી બહેનો દ્વારા ધારાસભ્ય સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી. મચ્છીમાર્કેટમાં ગંદકીનો ભરડો, નિયમિત સફાઈના અભાવ, રાત્રિ દરમિયાન પૂરતા પ્રકાશની વ્યવસ્થા ન હોવા, તેમજ જાહેર શૌચાલયની સુવિધા અપૂરતી હોવા જેવા પ્રશ્નો બહેનો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. રોજગાર માટે આ મચ્છીમાર્કેટ પર આધારિત બહેનોને આ સમસ્યાઓને કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી હોવાની વાત પણ રજૂ કરવામાં આવી હતી. બહેનોની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ સ્થળ પર જ સંબંધિત નગરપાલિકા તથા વિભાગીય અધિકારીઓને ટેલીફોનિક રીતે સંપર્ક કરી તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. સાથે જ મચ્છીમાર્કેટ વિસ્તારમાં સ્વચ્છતા, લાઈટિંગ અને શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ધારાસભ્ય ચુડાસમાએ જણાવ્યું હતું કે આ મુદ્દાઓ અંગે આગામી દિવસોમાં જવાબદાર નગરપાલિકા તંત્રના સત્તાધીશો સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવશે. જરૂર જણાય તો પ્રાદેશિક કમિશનર તથા કમિશનર સુધી પણ મામલો લઈ જઈ અસરકારક કાર્યવાહી કરાવવા પ્રયત્ન કરવામાં આવશે. તેમણે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સમયમર્યાદામાં આ સમસ્યાઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો વિધાનસભાના ફ્લોર પર આ મુદ્દાઓ ઉઠાવી ઉચ્ચ કક્ષાએ પ્રશ્નો કરવામાં આવશે. મચ્છીમાર્કેટમાં કામ કરતી બહેનોને મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે સાથે ઊભો રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. ---

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:09 am

ડાંગમાં વન વિભાગની વાંસ કૌશલ્યવર્ધન પહેલ શરૂ:સ્થાનિક આદિવાસીઓને નવી રોજગારી મળતાં આત્મનિર્ભર બન્યા

ડાંગ જિલ્લા વન વિભાગ દ્વારા આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા વાંસ આધારિત રોજગારી ઊભી કરવાની પહેલ શરૂ કરાઈ છે. ‘ગ્રીન ગોલ્ડ’ તરીકે ઓળખાતા વાંસના ઉછેર અને તેના પર આધારિત ઉદ્યોગોની ઇકોસિસ્ટમ વિકસાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. આ પહેલ ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરી રહી છે.વાંસને વૃક્ષની વ્યાખ્યામાંથી બહાર કાઢવામાં આવતા કાયદાકીય અડચણો દૂર થઈ છે, જેના પરિણામે દેશમાં ‘બામ્બુ ઇન્ડસ્ટ્રી’ને નવી ગતિ મળી છે. આ અનુસંધાને, આદિજાતિ વિસ્તારોમાં વાંસ આધારિત કૌશલ્ય વિકાસ માટે ૨૬ મે ૨૦૨૨ના રોજ ડેડીયાપાડા, નેત્રંગ, વઘઇ અને કેવડી ખાતે વર્ચુઅલ વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલના ભાગરૂપે, ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ વઘઇ સરકારી સોમીલ ખાતે એક વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર કાર્યરત છે. અહીં કોટવાળીયા આદિમ જૂથ સહિત અન્ય આદિવાસી સમુદાયના લોકોને વાંસમાંથી વિવિધ ઉપયોગી અને ઘરગથ્થુ ચીજવસ્તુઓ બનાવવાની વ્યવહારૂ તાલીમ આપવામાં આવે છે. તાલીમ કાર્યક્રમ હેઠળ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પાંચ બેચમાં કુલ ૧૬૬ તાલીમાર્થીઓને તાલીમ અપાઈ હતી. ત્યારબાદ, વર્ષ ૨૦૨૩-૨૪માં બે બેચમાં ૪૫ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી. આમ, અત્યાર સુધીમાં કુલ ૨૧૧ લોકોને વાંસમાંથી અંદાજે ૫૦ પ્રકારની વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની કૌશલ્ય તાલીમ પૂરી પાડવામાં આવી છે. તાલીમ પ્રાપ્ત કરનાર ૫૦ સભ્યો દ્વારા ‘પ્રકૃતિ વાંસ કામદાર મજૂર સહકારી મંડળી લિ., વઘઇ’નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં, આ મંડળી સ્વખર્ચે વાંસ તથા અન્ય કાચા માલની ખરીદી કરીને વઘઇ સોમીલ ખાતે શેડ ભાડે રાખી ઉત્પાદન પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. મંડળી સરકારી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત અને હોલસેલ ઓર્ડર મેળવી વાંસની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે.મંડળી દ્વારા બેબી ચેર, પાટલા, સોફા, પેન્સિલ બોક્સ, મોબાઇલ સ્ટેન્ડ જેવી અનેક વાંસ બનાવટો તૈયાર કરવામાં આવે છે. આ ઉત્પાદનોનું વેચાણ વઘઇ બોટાનિકલ ગાર્ડન સ્થિત બામ્બુ હાટ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, સ્વદેશી મેળા તથા ડાંગ દરબાર સહિત વિવિધ પ્રવાસન સ્થળોએ થાય છે. આ તાલીમ અને રોજગારીથી લાભાર્થીઓને સ્થિર આવક પ્રાપ્ત થઈ રહી છે.વન વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર સ્થાનિક આદિવાસી કારીગરો માટે આજીવિકાનો પ્રેરણાદાયી સ્રોત બન્યું છે. આ કેન્દ્ર વાંસ આધારિત ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે એક મહત્વપૂર્ણ ગ્રોથ સેન્ટર તરીકે કાર્ય કરી રહ્યું છે અને ‘વોકલ ફોર લોકલ’ના ધ્યેયને સાકાર કરતું સફળ મોડેલ બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:05 am

ગોધરા સિગ્નલ ફળીયા રોડ પર કચરાના ઢગલા હટાવાયા:સ્થાનિકોની રજૂઆત બાદ પાલિકાએ સફાઈ અભિયાન હાથ ધર્યું

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના સિગ્નલ ફળીયા રોડ પરથી લાંબા સમયથી જમા થયેલા કચરાના ઢગલા હટાવવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિકોની રજૂઆત બાદ પાલિકા તંત્ર સક્રિય બન્યું હતું. આ વિસ્તાર ગોધરાના વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે. અહીં કચરાના ગંજ ખડકાવાને કારણે આસપાસના રહીશો તેમજ વાહનચાલકો ગંદકી અને દુર્ગંધથી ભારે પરેશાન હતા. સ્થાનિક નાગરિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે ગોધરા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે રોગચાળો ફેલાવવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈને નગરપાલિકાના સફાઈ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સિગ્નલ ફળીયા રોડ પર JCB મશીન અને ટ્રેક્ટરોની મદદથી કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા હાથ ધરાયેલા આ સફાઈ અભિયાનને કારણે સમગ્ર વિસ્તારને કચરામુક્ત કરીને સ્વચ્છ બનાવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:00 am

વલસાડમાં ચપ્પુના ઘા મારી યુવકની હત્યા:પરિવારની દીકરીની છેડતી ન કરવા બાબતે સમજાવતા શખ્સે ઢીમ ઢાળી દીધું

વલસાડ તાલુકામાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાંકલ ગામના ઉતારા ફળિયામાં મરલા ગામના યુવાન કૃણાલ પટેલની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક કૃણાલ પટેલના પરિવારની એક યુવતીને આરોપી યુવક લાંબા સમયથી છેડતી કરતો હતો. આ બાબતે સમજાવવા માટે કૃણાલ પટેલ આરોપી પાસે ગયો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં હુમલાખોર યુવકે કૃણાલ પર ચપ્પુ વડે ગંભીર ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા કૃણાલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ, જિલ્લા એલસીબી અને ડી.વાય.એસ.પી. એ.કે. વર્મા સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં ગામ લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પરિવારજનોના નિવેદન મેળવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આરોપીને યુવતીની છેડતી ન કરવા બાબતે અનેક વખત સમજાવટ અને મારામારી થઈ ચૂકી હતી. હાલ વલસાડ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:39 am

ધજાળામાં કાઠી ક્ષત્રિય સમાજનો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ:સાયલા-ચુડા તાલુકાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું

સાયલા અને ચુડા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજનો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ ધજાળા સ્થિત લોમેવધામ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો અને તેના ઉત્કર્ષ પર ભાર મૂકવાનો હતો. આ કાર્યક્રમ પરમ પૂજ્ય લોમબાપુના સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં લોમેવધામના મહંત ભરતબાપુ ભગત, લીંબડીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહજી રાણા, તેમજ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ સત્યજીતકુમાર ખાચર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પૂજનીય સંતો-મહંતો, સમાજના ક્લાસ ૧-૨ અધિકારીઓ, ડોક્ટરો અને નિવૃત્ત શિક્ષકોએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. વિખ્યાત મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયાએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, માત્ર શાળા-કોલેજની પરીક્ષાઓ જ નહીં, પણ જીવનની વાસ્તવિક પરીક્ષાઓમાં કઈ રીતે સિદ્ધિ હાંસલ કરી શકાય તે સમજવું અનિવાર્ય છે. સગપરિયાએ વાસ્તવિક ઉદાહરણો દ્વારા યુવા પેઢીને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સમારોહમાં વર્ષ ૨૦૨૫-૨૬માં શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તાજેતરમાં સરકારી સેવામાં જોડાયેલા સમાજના યુવાનોનું પણ વિશેષ બહુમાન કરી તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મુનાભાઈ વિંછીયા (શ્રી સૂર્ય યુવા ગૃપ - નવા સુરજદેવળ), તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને માર્કેટિંગ યાર્ડના પ્રતિનિધિઓ સહિત ઉપસ્થિત અગ્રણીઓએ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અને સંગઠિત થઈને સર્વાંગી વિકાસ સાધવા હાકલ કરી હતી. આ પ્રથમ સન્માન સમારોહમાં સાયલા અને ચુડા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:36 am

વડોદરામાં સચેત-પરંપરા ટંડનના કોન્સર્ટ સાથે આજથી WPL શરૂ થશે:આજે પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે, સ્મૃતિ મંધાનાને રમતી જોવા ચાહકોમાં ભારે ઉત્સાહ

વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની મેચો શરૂ થશે. આજે પહેલી મેચ સાંજે 7:30 વાગ્યાથી ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલી મેચમાં સચેત અને પરંપરા ટંડનનો ખાસ કાર્યક્રમ યોજાશે. સાથે જ મેચ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી. શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બાકીની 11 મેચ હવે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાશે. 3 ફેબ્રુઆરીના એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચમાં પણ સામેલ છે. આ તમામ મેચ રમવા માટે ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ટીમો વડોદરા આવી ગઈ છે. યુપી વોરિયર્સની ટીમ આજે વડોદરા આવશે. વડોદરામાં યોજાનાર WPLની મેચોને લઈને કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રહેશે અને ઉચ્ચ અધિકારીઓ પણ ખડેપગે રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વુમન્સ પ્રીમિયર લીગની મેચો વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેના સારા આયોજન બાદ આ વર્ષે ફરી વડોદરાને વુમન્સ પ્રીમિયર લીગની મેચોનું આયોજન કરવાની તક મળી છે. આ વર્ષે ફાઇનલ સહિતની 11 મેચ વડોદરામાં યોજાશે. વિમેન્સ પ્રિમિયર લીગની કઈ મેચ દરમિયાન કયા કલાકાર આવશે? 19 જાન્યુઆરી GG vs RCB (સચેત-પરંપરા ટંડન) 20 જાન્યુઆરી DC vs MI (બ્રાન્સ બેન્ડ) 22 જાન્યુઆરી GG vs UPW (ડીજે NYK) 24 જાન્યુઆરી RCB vs DC (સાન્યા મલ્હોત્રા) 26 જાન્યુઆરી RCB vs MI (ઝાકીર ખાન અને ગાયકવૃંદ ડ્રોન શો (પ્રજાસત્તાક દિવસ થીમ) 27 જાન્યુઆરી GG vs DC (ડ્રોન શો) 29 જાન્યુઆરી UPW vs RCB (અર્જુન કાનૂનગો) 30 જાન્યુઆરી GG vs MI (ભૂમિ ત્રિવેદી) 1 ફેબ્રુઆરી DC vs UPW (ફાલ્ગુની પાઠક) 3 ફેબ્રુઆરી એલિમિનેટર (તારા સુતરિયા) 5 ફેબ્રુઆરી ફાઇનલ (તલવિંદર)

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:19 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગટર અને પાણીની લાઇનો આડેધડ ખોદતા ભાવનગર બન્યું ખાડાનગર

ભાવનગરને ખાડાઓએ શહેરને બાનમાં લીધું હોય એવું લાગી રહ્યું છે. મોટાભાગના વિસ્તારમાં રસ્તા ખોદી નાખવામાં આવેલ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ગટરના અપડેટેશન માટેનું કામ ચાલી રહ્યું છે તેમ જાણવા મળેલ છે અમુક વિસ્તારમાં પાણીની લાઈન પણ નાખવામાં આવેલ છે. તો આવનારા દિવસોમાં ગટર ચોકઅપ થઇ જાય છે તે સમસ્યાતો તો કદાચ હલ થશે પણ હાલમાં ખોદી નાખેલા રસ્તાઓથી વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે અને અકસ્માતની ભીતિ જાગી છે. આ ઉપરાંત અત્યારે પાણીની નવી લાઈન અમુક વિસ્તારમાં નાખવામાં આવે છે તો પાણીનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે ? અને આજે રસ્તા બનાવવામાં આવે છે તે હવે ફરીવાર વારંવાર બનાવવામાં તો નહીં આવે ને ? આ બધા પ્રશ્નોનો ઉકેલ પ્રજા માગી રહી છે. બાકી હાલમાં તો રસ્તાઓ આડેધડ ખોદી નાખવામાં આવતા જ્યાં જ્યાં સારા અને નવા રસ્તા હતા તે પણ ખોદાઇ ગયા છે. નવી લાઇનો કરવાને લીધે શહેરના મધ્ય વિસ્તારોમાં કેટલાય માર્ગો બંધ જેવી હાલતમાં છે. રૂપાણીથી આતાભાઇ અને સંસ્કાર મંડળ તેમજ તખ્તેશ્વર પોલીસ ચોકીથી ગુરૂદ્વારા જેવા રસ્તા બંધ એ અર્ધ બંધ જેવી હાલતમાં છે. સુભાષનગર સર્કલથી દેરાસર થઇ શિવાજી સર્કલ જતો રસ્તો પણ જર્જરિત છે. જ્યારે શહેર ફરતી સડકમાં દેવરાજનગર અને ભરતનગર જતો રસ્તો એક તરફથી સાવ બિસ્માર થઇ ગયો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:34 am

એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું:લાઈફ સાયન્સ ભવન દ્વારા નવતર સંશોધન અંતર્ગત યોજાયેલી પરિષદ

MKB યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવન દ્વારા અટલ ઓડિટોરિયમ ખાતે “Panorama of Life Sciences” શીર્ષક હેઠળ એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ જીવ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં થયેલા આધુનિક વિકાસ, ઉદભવતા સંશોધન પ્રવાહો તથા આંતરવિષયક અભિગમોને એક વ્યાપક મંચ પર રજૂ કરવાનો હતો. ઉદ્ઘાટન સત્રના મુખ્ય મહેમાન ડૉ. કન્નન શ્રીનિવાસન ડાયરેક્ટર -CSMCRI ભાવનગર, વિદ્વાન વક્તાઓ ડૉ. વૈભવ મંત્રી, ડૉ. સુહાસ વ્યાસ, પ્રવીણ કુમાર તથા કૌશિક ઘેલાણીએ પોતાના અનુભવ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રજૂ કર્યા. તેમના વ્યાખ્યાનોએ જીવવિજ્ઞાનના વિવિધ આયામોને આવરી લીધા. પરિષદમાં વન્યજીવનથી લઈને સિંગલ સેલ મિકેનિઝમ સુધીના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ, જેના કારણે વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રેરણા મળી. આ પ્રસંગે ચાર પુસ્તકોનું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:32 am

ભાવનગર સરકારી ઈજનેરી કોલેજની ઝળહળતી સફળતા:રોબોફેસ્ટ ગુજરાતમાં GECની બે ટીમે જીત્યા રૂપિયા 5 લાખના ઇનામ

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા ROBOFEST-GUJARAT 5.0 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાઉન્ડમાં યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના બીજા રાઉન્ડનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં સિનિયર લેવલમાં સરકારી ઈજનેરી કોલેજ (GEC) ભાવનગરના વિદ્યાર્થીઓની બે ટીમ અનુક્રમે ઓટોનોમસ મેઝ સોલ્વર રોબોટ તથા ઓટોનોમસ અંડરવોટર વેહિકલ કેટેગરીમાં અંતિમ રાઉન્ડ (Grand Finale)માં ભાગ લેવા માટે પસંદ થઇ છે. આ બે ટીમ અંતિમ રાઉન્ડ માટે કવોલિફાય થઇ અને તેના વિદ્યાર્થીઓએ કુલ પાંચ લાખ નું રોકડ ઈનામ જીત્યું છે. સંસ્થાના કોમ્પ્યુટર ઈજનેરી વિભાગના પ્રો. ચિન્મયભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (EC) વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ જ્યોતિર્મય દેકા અને માહી દેસાઈ, કોમ્પ્યુટર ઈજનેરી વિદ્યાશાખાના હરદત્તસિંહ ઝાલા અને મિકેનિકલ ઈજનેરી વિદ્યાશાખાના બલદેવ મકવાણાની ટીમ ઓટોનોમસ મેઝ સોલ્વર રોબોટ કેટેગરીમાં તથા ઓટોનોમસ અંડરવોટર વેહિકલ કેટેગરીમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (EC) વિદ્યાશાખાના પ્રો. પ્રતીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી ધર્મી ભાવસાર અને માનસી તેલી, કોમ્પ્યુટર વિભાગમાંથી જય સોલા અને મિકેનિકલ વિભાગમાંથી ધ્રુવ મકવાણાની ટીમ અંતિમ રાઉન્ડમાં પસંદ થઈ છે. કેવી રીતે સ્પર્ધામાં કસોટી થાય છે ?મેઝ સોલ્વર રોબોટ કેટેગરીમાં ટિમ દ્વારા તૈયાર કરેલ રોબોટને એક મુશ્કેલ મેઝ (ભૂલભૂલામણી)માં મુકવામાં આવે છે અને રોબોટને કોઈ પણ જાતની બાહ્ય મદદ વિના એ મેઝમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધીને બહાર આવી જવાનું હોઈ છે તથા બહાર આવવા માટેના સૌથી ટૂંકા રસ્તાની ગણતરી કરવાની હોઈ છે. આ રોબોટ પાણીની અંદર બાહ્ય સિગ્નલ કે વાયર વગર સ્વાયત્ત રીતે કામ કરે છે. તેમાં વોટર-પ્રૂફિંગ (સીલીંગ), પાણીના દબાણ સામે સ્થિરતા અને અલ્ટ્રાસોનિક સેન્સર્સ દ્વારા અવરોધો ઓળખી માર્ગ બનાવવો એ સૌથી મોટો પડકાર હોય છે તેમ આચાર્ય પ્રો. ડૉ. એમ.જી. ભટ્ટે જણાવ્યું હતુ.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:31 am

વિશ્વ શાંતિ દિવસ:પ્રજાપિતા બ્રહ્મા બાબાની 57મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરાઈ

ભાવનગર : બ્રહ્માકુમારી સંસ્થાના સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાની 57મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર ખાતે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બ્રહ્માકુમારી તૃપ્તિબેને પિતાશ્રી બ્રહ્મા બાબાની જીવન ઝરમર રજૂ કરતા જણાવેલ કે પવિત્રતા, વિશ્વ બંધુત્વની, વસુધૈવ કુટુંબ ભાવનાને ચરિતાર્થ કરી સંકલ્પ, શ્વાસ, સમય, સંબંધ સફળ કરી માનવ ઉત્થાનનું ભગીરથ કાર્ય ભારત અને વિશ્વના 144 દેશોમાં ઈશ્વરીય કાર્યનો વ્યાપ્ત વધારેલ છે. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્માવત્સો જે ગૃહસ્થ જીવનમાં કમલ પુષ્પ સમાન પવિત્ર જીવન જીવી રહ્યા છે. ભાવનગર મિડિયા સંયોજક બ્રહ્માકુમાર મુકેશભાઈ જોશી એ જાણાવેલ કે આજ રોજ સમગ્ર ભારતમાં સો પ્રથમ વખત ભાગ્ય વિધાતા ફિલ્મ. સંસ્થા નો ઈતિહાસ રજુ કરતી ફિલ્મ રિલીઝ કરવામાં આવેલ હતી. ઉપસ્થિત સૌને બ્રહ્મા કુમારી બહેનો દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવેલ.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:29 am

ખરીફ પાકનું થયું બમણું વાવેતર:એક માસમાં ભાવનગરમાં શિયાળુ વાવેતરમાં બમણો વધારો થયો

આ વર્ષે પાછોતરા વરસાદ અને માવઠાએ ખરીફ પાકને ભારે નુકશાન કર્યા બાદ હવે ભાવનગર જિલ્લામાં હવે ઠંડીનો માહોલ ધીમી ગતિએ ડિસેમ્બર અને જન્યુઆરીમાં જામેલો હોય શિયાળુ પાકના વાવેતરમાં છેલ્લાં એક જ માસમાં 75,700 હેકટરનો વધારો નોંધપાત્ર થયો છે. આજથી 30 દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં કુલ વાવતેર 74,400 હેકટર હતુ તે હવે વધીને 1,50,100 હેકટરના આંકને આંબી ગયુ છે. એક પખવાડિયામાં ટકાવારી પ્રમાણે વાવેતરમાં બમણો વધારો થયો છે. ડુંગળીનું સર્વાધિક 40,900 હેકટરમાં વાવેતર થયું છે. તો ઘઉંનું વાવેતર પણ 40,400 હેકટરમાં થતા તે પણ બહુ પાછળ નથી. રવિ (શિયાળુ) સિઝનમાં 6 જિલ્લાના ખેડૂતોને 20મી નવેમ્બરથી 8ને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. તો બીજી બાજુ ડિસેમ્બરથી ઠંડીનો આરંભ થઇ ગયો અને હાલ ઠંડી ચાલુ છે. હાલ ગુજરાતમાં ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીનું વાવેતર 91,900 હેકટરમાં થયું છે તેની સામે એકલા ભાવનગર જિલ્લામાં જ ડુંગળીનું વાવેતર 40,900 હેકટર થયું છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર થયું છે તેના 44.50 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. જિલ્લામાં આ વર્ષે ઘઉનું વાવેતર 40,400 હેકટરના આંકને આંબી ગયું છે. ચણાનું વાવેતર 30,800 હેકટર થયું છે. શાકભાજીનું વાવેતર 4,500 હેકટર થયું છે. જ્યારે ઘાસચારાનું વાવેતર 30,400 હેકટર થયું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે ત્યારે ઘઉં અને ડુંગળી તેમજ ચણાના વાવેતરમાં પણ આ વખતે વધારો થવાની શકયતા રહેલી છે. ડુંગળીના વાવેતરના પ્રથમ 5 જિલ્લા વાર્ષિક સરેરાશ 118 ટકા વિસ્તારમાં ડુંગળીનું વાવેતરભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં શિયાળુ વાવેતરમાં ડુંગળીનું છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર 77,492 હેકટરમાં થાય છે અને તેમાં આ વર્ષે પણ 91,896 વાવેતર થઇ ગયું છે છે ગત 3 વર્ષની વાર્ષિક સરેરાશની તુલનામાં 118.59% હેકટર થઇ ગયું છે. આમ, ગુજરાતમાં ડુંગળીનું વાવેતર તેની વાર્ષિક એવરેજથી વધ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:26 am

વેધર રિપોર્ટ:વાદળો છવાયા, સાંજે 14 કિ.મી.ની ઝડપે પવનના સુસવાટા ફૂંકાયા

ભાવનગર શહેરમાં રાતનું તાપમાન છેલ્લાં 3 દિવસથી વધી રહ્યું હોય ઠંડીમાં રાહત છે. ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે મહત્તમ તાપમાન પણ વધીને 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. પવનની ઝડપ વધી છે પણ દિશા બદલાઇ જતા ઠંડીમાં રાહત છે. આજે સાંજે પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઇ હતી. શહેરમાં બપોરથી થોડા વાદળો છવાયા હતા. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 16.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં આજે પવનની ઝડપ સવારના સમયે 12 કિલોમીટર હતી તે સાંજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 90 ટકા થઇ ગયુ હતુ જે સાંજે ઘટીને 59 ટકા રહ્યું હતુ. જો કે પવન અને ભેજ બન્નેનું પ્રમાણ નોંધપાત્ર હોવા છતાં પવનની દિશા ઉત્તરની ન હોય ઠંડી જામતી નથી. આ ભેજવાળું વાતાવરણ ઠંડી જામવા દેતું નથી. ઠંડી માટે વાતાવરણ સૂકું હોવું જરૂરી છે. તાપમાનમાં સતત વધારો

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:23 am

મિસ્ટર ભાવનગર સ્પર્ધાનું પરિણામ:ગણેશ ક્રિડા મંડળના રાકેશ સરવૈયા મિસ્ટર ભાવનગર ટાઇટલ જીત્યા

લોકો માં સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ અને શિસ્ત બાબત માં જાગૃતિ ફેલાવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ્ટર ભાવનગર સ્પર્ધાનું આયોજન આજે કરવામાં આવ્યું હતુ. ગણેશ ક્રસ્ડા મંડળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાવનગર બોડી બિલ્ડિંગ 40, મિસ્ટર ભાવનગરનું ટાઇટલ રાકેશ સરવૈયાએ જીત્યું હતુ. ભાવનગર બોડી બિલ્ડિંગ 40., મિસ્ટર ભાવનગરનું આયોજન ગણેશ ક્રીડા મંડળમાં કરવામાં આવ્યું હતુ. બોડી બિલ્ડિંગ અને મેન ફિઝિક્સ એમ બે કેટેગરીમાં યોજાયેલ આ સ્પર્ધામાં અદભૂત શરીર સૌષ્ઠવ ધરાવતા સ્પર્ધકો એ પોતાના ફિઝિક, સિમેટ્રી,વિંગ્સ,બાયસેપ, ચેસ્ટ, મસ્ક્યુલર અને શાર્પ એબ્સનું પરફેક્ટ સ્ટેજ પ્રેઝન્ટેશન થી દર્શકો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. અંતમાં મેન ફિઝિક્સમાં સુમિત મકવાણા, બીજા નંબરે વિષ્ણુ બારૈયા અને ત્રીજા નંબરે ઋત્વિક વિજેતા બનેલ. તો બોડી બિલ્ડિંગમાં રાકેશ સરવૈયા ચેમ્પિયન જાહેર થયેલ. તો મહેશ રાઠોડ અને વિષ્ણુ બારૈયા અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે વિજેતા જાહેર થયા હતા. આ સ્પર્ધામાં ભાવનગર શહેર અને જિલ્લાના 55થી વધારે ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમાં બોડી બિલ્ડિંગ એસોસિએશન. ના જજ તરીકે એમ.કે.શર્મા , સેક્રેટરી એ.એ. મલિક અને નાગજીભાઈ બારીયા તથા ભાસ્કર ભાઈ રાઠોડ તથા મનોજ ભાઈ રાઠોડ(બોટાદ) તથા યુનુસભાઈ મહીડા, મુકેશભાઈ અને નટુભા ચુડાસમા તથા મહીપત ત્રિવેદીએ આયોજન અને માર્ગદર્શન આપ્યું હતુ. આ સ્પર્ધામાં પોતાના શરીર સૌષ્ઠવથી ભાવનગરના ગણેશ ક્રીડા મંડળ સંસ્થાના વિદ્યાર્થી (ખેલાડી) રાકેશ સરવૈયાએ મિસ્ટર ભાવનગર ટાઇટલ જીત્યું હતું. જેમને રોકડ રકમ ઇનામ ટ્રોફી સર્ટિફિકેટ અને અન્ય કંપની તેમજ સંસ્થા દ્વારા પુરસ્કાર ઇનામ આપ્યા હતા.ટાઇટલ જીતનાર રાકેશ સરવૈયાને ગણેશ ક્રીડા મંડળ ટ્રસ્ટી દ્વારા સન્માન કરેલ અને આખા વર્ષની ફી તથા અન્ય ખર્ચ માફ કરવાની જાહેરાત કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:22 am

મંડે ફોટો સ્ટોરી:નવા બંદરના રોડનો આકાશી નજારો જાણે કે રોડ ટુ હેવન

પહેલી નજરે જોતા લાગે આ રોડ ટૂ હેવન છે, પણ ના, આ તો આપણા ભાવનગરના નવા બંદર રોડ છે જે આકાશી નજરથી આવો નયનરમ્ય લાગે છે. હાલ રોડની બંને બાજુ પાણી ભરાયેલું અને આકાશ પણ ભૂરા રંગે રંગાયેલું એટલે લાગે જાણે આકાશ ધરતીને સ્પર્શ કરતુ હોય અને જાણે ભાવનગર નવા બંદર જવાના વિસ્તારમાં સ્વર્ગ જેવું નયનરમ્ય વાતાવરણ સર્જાયું હોય તે જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:20 am

જિયોપોલિટિકલ તજજ્ઞ ડૉ.અંકિત શાહનું વ્યાખ્યાન યોજાયું:વૈશ્વિક અર્થવ્યવસ્થા ક્ષેત્રે ભારત અને ચીન નવી ઉભરતી શક્તિ

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી બદલાતા વૈશ્વિક સત્તા-કેન્દ્રો, આર્થિક સમીકરણો અને નાણાકીય વ્યવસ્થામાં આવી રહેલા ધરખમ ફેરફારો અંગે વિચારપ્રેરક વિશ્લેષણ રજૂ કરતાં જિયોપોલિટિકલ એક્સપર્ટ ડૉ. અંકિતભાઈ શાહનું વ્યાખ્યાન ભાવનગરમાં યોજાયું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે આજનું વિશ્વ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં પશ્ચિમી દેશોના પ્રભુત્વ આધારિત વૈશ્વિક વ્યવસ્થાનું પુનઃસંતુલન થઈ રહ્યું છે. ભારત, ચીન અને અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક મંચ પર નવી શક્તિ તરીકે ઉપસી રહી છે. આ પરિવર્તન માત્ર રાજકીય નથી, પરંતુ તેનો વ્યાપ આર્થિક, નાણાકીય, વ્યાપારિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ભારતીય વિચાર મંચ, ભાવનગર કેન્દ્ર તથા ભાવનગર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી એસોસિએશન (BESIA) ના સંયુક્ત ઉપક્રમે અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી ચેન્જિંગ ગ્લોબલ ઓર્ડર એન્ડ ધ અપકમિંગ ફાયનાન્સીયલ રિસેટ વિષય પર વ્યાખ્યાનનું આયોજન થયું. ડૉ. શાહે પોતાના વિશ્લેષણમાં અમેરિકા–ઈરાન સંઘર્ષ, વૈશ્વિક યુદ્ધોની સંભાવનાઓ, ફેડરલ રિઝર્વની નીતિઓ અને ગોલ્ડના ભાવ જેવા મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આત્મનિર્ભરતા, સ્વદેશી વિચારધારા અને “સનાતન ઇકોનોમિક્સ” જેવા મોડલ્સના આધારે ભારત આવનારા સમયમાં એક સ્થિર અને વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે ઊભરી શકે છે. કાર્યક્રમના અંતે અંકિતભાઈએ પ્રશ્નોત્તરીમાં સારા પ્રશ્નો પૂછનારા વ્યક્તિઓને પોતાનું લખેલું પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું હતું. મહેમાનોનું સ્વાગત BESIAના ઉપપ્રમુખ ડૉ. નિયતિબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, આભારવિધિ દિપલભાઈ ભટ્ટએ કરી હતી. આયોજન માટે અધ્યક્ષ ડૉ. ગિરીશભાઈ વાઘાણી સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતુ. ફાઈનાન્સિયલ રિસેટની સંકલ્પનાની સમજ આપીઅંકિતભાઇએ ફાઈનાન્સિયલ રિસેટની સંકલ્પનાને સરળ શબ્દોમાં સમજાવતા જણાવ્યું કે, અતિશય કરજ, ચલણનું અવમૂલ્યન અને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં ઘટતો વિશ્વાસ આ તમામ પરિબળો એક મૂળભૂત પુનઃરચનાની માંગ કરે છે. આ પ્રક્રિયામાં ડી-ડોલરાઇઝેશન, ગોલ્ડના ભાવોમાં ફેરફાર, ડિજિટલ કરન્સી અને નવી આંતરરાષ્ટ્રીય ચુકવણી પદ્ધતિઓ મહત્વની ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:18 am

સિટી એન્કર:ભાષા અભિગમ પ્રક્રિયામાં SSCCMના 3 અધ્યાપકોને કોપીરાઇટ

શિક્ષણ ક્ષેત્રે સ્વાયત્ત દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ (SSCCM)એ શૈક્ષણિક, ઔદ્યોગિક અને સંશોધન ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના અઘ્યાપકો પાસે 10 જેટલા કોપિરાઈટસ છે, તાજેતરમાં ભારત સરકારનાં કોપીરાઈટસ વિભાગ દ્વારા કોલેજનાં ત્રણ અઘ્યાપકોને અધિકૃત કોપીરાઈટસની નોંધણી પ્રાપ્ત થઈ છે. અંગ્રેજી વિભાગના અઘ્યાપકો અંકિતા ભટ્ટ, ડૉ. પૂજાબા રાણા અને આચાર્યા ડૉ. હેતલ મહેતા દ્વારા પ્રખ્યાત ભાષા શાસ્ત્રી સ્ટીફન કેશરનાં ભાષા અભિગમનાં નીરિક્ષણની પ્રક્રિયા પર આધારિત મોડેલને કોપીરાઈટ પ્રાપ્ત થયેલ છે. SSCCMએ Herbayu Wellness India સાથે MoU કરીને ભાવનગર તેમજ ગુજરાતમાં પ્રથમ ડિપ્લોમા ઇન લાઇફ સ્ટાઇલ મેનેજમેન્ટ અભ્યાસક્રમ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શૈક્ષણિક વર્ષ 2026-27થી શરૂ કરવામાં આવનાર આ ડિપ્લોમા અભ્યાસક્રમમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, યોગ, ઘ્યાન, હોલીસ્ટીક વેલનેસ અને ખાસ કરીને સારી જીવનશૈલી જે ડાયાબીટીસ જેવા રોગોથી મુક્ત કરે તેના પર કામ કરશે. કોલેજે વિવિધ ક્ષેત્રોમાં કુલ 5 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરનાં MoUs કરી ઉદ્યોગો સાથેના જોડાણો કર્યા છે. આ MoUsમાં દેશની નામાના પ્રાપ્ત એવી Blue Ocean અને Orlikon, Pune સાથે MoU કરવામાં આવ્યાં છે. જેમાં ઈન્ડસ્ટ્રી રેડી સ્કીલ્સ ટ્રેઈનીંગ, લાઈવ પ્રોજેકટસ દ્વારા વિશાળ પ્લેસમેન્ટની તકો વિદ્યાર્થીઓ માટે ઉભી થશે. કોલેજે આ સાથે શ્રીનીવાસા સીનાઈ ડેમ્પો કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમીકસ, ગોવા, ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટ સાયન્સ, પીમ્પરી, મહારાષ્ટ્ર અને બીઝનેસ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, ચકાન, મહારાષ્ટ્ર સાથે પણ MoU કર્યા છે. ભાષા અધ્યયનમાં મદદરૂપ બનશેઆ કોપીરાઈટ વિકસિત શૈક્ષણિક મોડેલ શિક્ષણ પ્રક્રિયામાં સેલ્ફ મોનિટરિંગ અને સેલ્ફ કરેકશનને પ્રોત્સાહન આપે છે. જે વિદ્યાર્થીઓને ભાષા અધ્યયન દરમ્યાન પોતાની ભૂલો જાતે ઓળખી સુધારવાની ક્ષમતા વિકસાવવામાં સહાયક બને છે. આ કોપીરાઈટસથી કોલેજને ભવિષ્યમાં પેટન્ટ, IPR સેલ અને સ્ટાર્ટ-અપ આધારિત સંશોધન પ્રવૃત્તિ માટે મજબૂત પાયો પુરો પાડશે. આ સંશોધનમાં બોલતા પહેલા વિચારવું, લખતા સમયે વ્યાકરણ ચેક કરવું અને પોતાની ભૂલોને ઓળખીને સુધારવી એમ ત્રિસ્તરીય મોડેલ બનાવાયુ છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:15 am

મંડે પોઝિટીવ:5 વર્ષથી ગીતાબેન પરમારે શરૂ કર્યો છે અનોખો શિક્ષણ યજ્ઞ

આજથી પાંચ વર્ષ પૂર્વે મેં જ્યારે કુંભારવાડા સ્મશાન પાછળના શાંતિનગર જેવા વિસ્તારમાં વસતા શ્રમજીવી પરિવારના શાળાએ ન જતા બાળકો માટે શિક્ષણ યજ્ઞ શરુ કર્યો ત્યારે હાથની આંગળીએ ગણી શકાય એટલા બાળકો આવતા પણ આજે દરરોજ 65 બાળકો આ શાળામાં નિયમિત ભણવા આવે છે અને સાથે આ તમામ બાળકોને ગરમ નાસ્તો પણ અપાય છે તેનો સંતોષ છે તેમ આ શિક્ષણ યજ્ઞ ચલાવતા અને શહેરના વિદ્યાનગર વિસ્તારમાં વસતા ગીતાબહેન પરમારે જણાવ્યું હતુ. કુંભારવાડા શાંતિનગરમાં આ 65 બાળકો ભણી રહ્યાં છે. તેઓને ભણતર સાથે જીવનનું ગણતર પણ આપવામાં આવે છે. આ સાથે દાતાના સહયોગથી રોજ મગ, ચણા, ખીચડી જેવો ગરમ અને પૌષ્ટિક નાસ્તો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. અમે આ સ્થળે બાળકોને બહારના નાસ્તાના પડીકા કે ભુંગળા બટેટા કે તેના જેવી ચીજો આપતા નથી. આ બાળકોને શિક્ષણ આપવાથી જે સંતોષ મળે છે તેનું વર્ણન શબ્દોમાં થઇ શકે તેમ નથી તેમ ગીતાબહેને જણાવી શિક્ષણ સાથે જીવન ઘડતરની કેળવણી આપીયે છીએ તેનો સવિશેષ આનંદ છે. તેઓ પોતે પણ એમ.એ.એમ.એડ. સુધી ભણેલા છે. આથી કેળવણી આપવામાં તજજ્ઞ છે. આ તમામ બાળકો જેઓ ભણવા જઇ શકતા નથી અથવા જતા નથી તેઓને ગોતીને ગીતાબહેને પોતાના વર્ગમાં ભણવા આવતા કર્યા અને આ વાતને આજે 5 વર્ષ થઇ ગયા છે. વર્ગખંડ માટે દાતા જયેશભાઇ શાહે દાન આપતા બે વર્ગખંડ અને એક રસોડું બનાવી આપવામાં આવ્યું છે. સાથે ગિરીશભાઇ શાહ અને જ્યોતિબહેન શાહનો પણ દાનરૂપી સહયોગ સાંપડી રહ્યો છે.કુંભારવાડા શાંતિનગર મોક્ષ મંદિર પાસે ગીતાબેન પરમાર દ્વારા ચાલતા વિના મૂલ્યે ચાલતા ક્લાસીસમાં તાજેતરમાં 65 બાળકોને ચાઈનીઝ વાનગી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:13 am

મંડે પોઝિટીવ:ભીખમાં રૂપિયાને બદલે કોઈએ કોમિક ફેંકતા કાર્ટૂનિસ્ટ બનવાનો વિચાર આવ્યો, આજે બચ્ચન, શાહરૂખ, અક્ષય કુમાર આબિદ સુરતીના ફેન છે

‘ભીખમાં એક વ્યક્તિએ રૂપિયાને બદલે કોમિક ફેંકતા કાર્ટૂનિસ્ટ બનાવાનો વિચાર આવ્યો હતો.ત્યારથી અત્યાર સુધી મારૂં સમગ્ર જીવન કાર્ટુન બનાવવામાં સમર્પિત કરી દિધું છે.’ આ શબ્દો છે 90 વર્ષના કાર્ટુનિસ્ટ આબિદ સુરતીના. તેઓ કાર્ટુનિસ્ટ, લેખક, સમાજસેવી છે. તેમણે ધર્મયુગ મેગેઝિનમાં 30 વર્ષ સુધી ઢબુજી કાર્ટુન બનાવ્યુ હતું. ભારતની કોમિક્સની દુનિયામાં પહેલા સુપર હિરો ‘બહાદુર’નું સર્જન કર્યુ હતું. આજે તેમના શાહરુખ ખાન, આમિરખાન અને અક્ષય કુમાર ફેન છે. એમના 80થી વધુ પુસ્તકો પ્રકશિત થઇ છે. 2007માં મુંબઈમાં ડ્રોપ ડેડ ફાઉન્ડેશન શરૂ કર્યુ હતું. ત્યારથી 2025 સુધીમાં 3 કરોડ લિટર પાણી બચાવ્યું હતું. ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. કાર્ટૂનિસ્ટ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો?જવાબ : હું લગભગ 7 વર્ષનો હોઈશ બીજા વિશ્વયુદ્ધના કારણે અમારો પરિવાર નાદાર થઇ સુરતથી મુંબઈ શિફ્ટ થયો હતો અને ત્યાંથી કરાચી જવાની તૈયારી કરતો હતો કારણ કે ત્યારથી ભાગલાની અટકળો વધી ગઈ હતી. મુંબઈમાં અમે ડોંગરીની ચાલની એક ખોલીમાં અમે 15 જણા રહેતા ,રાતે મહિલાઓ ઘરની અંદર અને પુરુષો બહાર ફૂટપાથ પર સુતા. ગુજરાન ચલાવા માટે હુ રસ્તા પર પીપરમિન્ટ, બોર જેવી વસ્તુઓ વેચતો. ત્યાં મારા જેવા ઘણા હતા જેમાંથી એક દિવસે એક વ્યક્તિ કહ્યું કે, બીજા વિશ્વયુદ્ધ માટે ઇંગ્લેન્ડથી સૈનિકો મુંબઈ આવે છે અને ત્યાંથી ટ્રેનમાં બર્મા જાય છે . આપણે એમની પાસે ભીખ માંગવી જોઈએ. પછી શું અમે બધા સ્ટેશન પર પહોંચી ગયા અને વાટકો લઇ ચાલુ ટ્રેનની પાછળ દોડતા હતાં. કોઈ એંઠી સેન્ડવિચ નાંખે, કોઈ બ્રેડ નાંખે, કોઈ રૂપિયા ફેંકે અને એક દિવસ એક અંગ્રેજે કોમિક્સ બુક્સ ફેંકી અમને એમ કે, એમાં રૂપિયા અથવા પાઉન્ડ હશે અને અમે એની પર તૂટી પડ્યા. મારા હાથમાં કોમિક્સનું એક પાનું આવ્યું જે હતું વૉલ્ટ ડિઝનીનું મિકી માઉસ .એને જોતા જોતા હું ઘરે પહોંચ્યો અને વિચાર્યું કે આવું તો હું પણ બનાવી શકું છું . પહેલી તક કેવી રીતે મળી?જવાબ : મેં નાના કાર્ટૂન બનાવાની શરૂઆત કરી દીધી હતી .ત્યારે મારી સ્કૂલમાં ભણતા એક છોકરા એ મને કહ્યું કે તું નાના નાના કાર્ટૂન બનાવે છે. અમારી બાજુના ઘરમાં તો મોટા મોટા ચિત્રો બનાવે છે. એની સાથે હું ત્યાં ગયો એ ઘર હતું ડોક્ટર ચીનવાળાનું જે એવા લોકોને પોતાના ઘરે આશરો આપતા જે કળા સાથે સંકળાયેલા હોય, એમને ત્યાં એક લેખક રહેતા અને બીજો કલાકાર હતા પેઈન્ટર. ત્યાં રહીને હું કાર્ટૂનને વધુ સારી રીતે બનાવતા શીખ્યો અને લેખક સાથે રહીને સ્ક્રીપટ રાઇટિંગ. અમારી સ્કૂલમાં ‘પહેલી કમાઈ ડે’ હતો .જેનો ઉદેશ્ય એ કમાણી તમારા માતાને અર્પણ કરવી. જેમાં હું સ્કાઉટનો ડ્રેસ પેહરીને અંગ્રેજી અખબારના એડિટરની કેબીનમાં મારા ત્રણ કાર્ટૂન લઇને પહોંચ્યો અને એમાંથી એક એમને પસંદ પડ્યું અને પછી છપાયું હતું .આ રીતે મને પેહલો બ્રેક મળ્યો હતો . ડબ્બુજી ની શરૂઆત કેવી રીતે થઇ ?જવાબ : ગુજરાતીમાં મેગેઝીનમાં કામ કરતો હતો. તેમાં ડબ્બુજી બનાવ્યું હતું. જે વાચકોને પસંદ ન આવ્યું એટલે ત્રણ મહિનામાં બંધ કર્યું.પછી ડો.ધર્મવીર ભારતી ધર્મયુગ મેગેઝીન માટે કોઈ કેરેક્ટર શોધી રહ્યા હતા. મેં મારા ગુજરાતી ડબ્બુજી ને હિન્દીમાં કરીને આપી દીધા અને એ ચાલી ગયું. 30 વર્ષ સુધી ડબ્બુજી ચાલ્યા જેના અટલબિહારી બાઝપાઈ, ઓશો, અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ પણ ફેન હતાં. ડ્રોપ ડેડ ફાઉન્ડેશનની શરૂઆત કેવી રીતે કરી ?જવાબ : ડ્રોપ ડેડ ફોઉન્ડેશનની મારું બાળપણ મુંબઈની ચાલીઓમાં વીત્યું જ્યાં મેં મારી માતાને પાણીની સંઘર્ષ કરતા જોયા હતા. ચાલીમાં એક જ નળ હોય અને એના આવવાના સમયના બે કલાક પહેલાથી લોકો ડોલ લઇને લાઈનમાં ઉભા રહેતા. એના લીધે ઘણી મારામારી પણ થતી ત્યારથી વિચાર આવ્યો હતો કે આ દિશામાં કામ કરવું. 2007થી દર રવિવારે હું એક પ્લમ્બર અને એક થેલામાં નળને સાથે લઇ મુંબઈના મીંરા રોડ વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં જતો અને જો એમના ઘરનો નળ લીક થતો હોય તો એ ફ્રીમાં રિપેર કરી આપતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:08 am

શિક્ષણ જગતમાં પારદર્શિતા લાવવા કડક વલણ:CBSE સ્કૂલોએ વેબસાઇટ પર શિક્ષકોની ડિગ્રી અને ફી સહિત તમામ વિગતો જાહેર કરવી પડશે

સીબીએસઈએ શિક્ષણ જગતમાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી જે વિગતો માત્ર ફાઈલોમાં દબાયેલી રહેતી હતી, તેને હવે જનતા અને વાલીઓ સમક્ષ ખુલ્લી મૂકવા માટે બોર્ડે સ્કૂલોને ‘હોમવર્ક’ આપ્યું છે. બોર્ડે આદેશ આપ્યો છે કે તમામ સંલગ્ન સ્કૂલોએ પોતાની વેબસાઈટ પર શિક્ષકોની ડિગ્રીથી લઈને ફીના માળખા સુધીની તમામ વિગતો જાહેર કરવી પડશે. બોર્ડના ધ્યાન પર આવ્યું છે કે અનેક સ્કૂલો વારંવારની સૂચના છતાં વિગતો અપડેટ કરવામાં આળસ કરી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈને CBSEએ નવું ફોર્મેટ ‘Appendix-IX’ જાહેર કર્યું છે. જો 15 ફેબ્રુઆરી, 2026 સુધીમાં આ વિગતો અપલોડ નહીં થાય અથવા ખોટી માહિતી જણાશે, તો જે-તે સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવશે. વાલીઓની જાગૃતિ માટે નિર્ણયCBSEના મતે, વાલીઓ પોતાના બાળકનું ભવિષ્ય જે સ્કૂલના ભરોસે મૂકે છે, ત્યાં કેવી સુવિધાઓ છે અને કેવા શિક્ષકો ભણાવે છે તે જાણવાનો તેમનો નૈતિક અને કાયદેસરનો અધિકાર છે. જેમાં આ ડિજિટલ ડિસ્ક્લોઝરથી સ્કૂલો દ્વારા ચલાવવામાં આવતી મનમાની પર લગામ લાગશે. શા માટે લેવાયો આ નિર્ણય?બોર્ડના અવલોકનમાં આવ્યું છે કે ઘણી સ્કૂલો વેબસાઈટ પર અધૂરી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી મૂકે છે. વાલીઓને સ્કૂલ પસંદગીમાં છેતરામણીનો ભોગ ન બનવું પડે અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા બોર્ડે આ ‘મેન્ડેટરી પબ્લિક ડિસ્ક્લોઝર’નો કોરડો વીંઝ્યો છે. વાલીઓને જાણકારી મળે તે માટે વેબસાઈટ પર 5 વિગત મૂકવી ફરજિયાત

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:02 am

સાહેબ મિટિંગમાં છે:'પાણી પીવો હજુ કેબિનેટમાં પણ બોલવાનું છે', સાંસદો તો જબરા ખેલાડી નીકળ્યા

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... RB વિભાગમાં સચિવ કોણ? ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં સચિવનું પદ હંમેશા પડકારરૂપ રહ્યું છે. આ પદ સંપૂર્ણપણે ટેકનિકલ હોવાથી અહીં IAS અધિકારીની નિમણૂક શક્ય નથી. હાલના સચિવ પી. આર. પટેલિયા માર્ચ 2026માં નિવૃત્ત થવાના હોવાથી નવા સચિવ અંગે ચિંતા વધી છે. સરકાર પાસે મુખ્ય ઇજનેર તરીકે જરૂરી અનુભવ ધરાવતા અધિકારીઓની અછત છે, જેના કારણે કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક એકમાત્ર વિકલ્પ બની શકે છે. અન્ય રાજ્યોમાં વહીવટી અને ટેકનિકલ પદ અલગ હોવા છતાં ગુજરાતમાં આવી વ્યવસ્થા ન હોવાને કારણે ગૂંચવણ યથાવત છે. CSએ મુકેશકુમારને કહ્યું, પાણી પીવો હજુ કેબિનેટમાં પણ બોલવાનું છેગત શુક્રવારે કેબિનેટની બેઠક મળી હતી. આ અગાઉ પીએમ મોદીની ગુજરાત મુલાકાતને કારણે કેબિનેટની બેઠક મળી શકી નહોતી. ઉપરાંત ત્યાર પછીના બુધવારે ઉત્તરાયણ નિમિત્તે જાહેર રજા હોવાથી સચિવાલય બંધ હતું. જેથી કેબિનેટની બેઠક મળશે તેવા મેસેજ ગુરુવારે જ કરી દેવાયા હતા. અડધો કલાક બાદ એમ.કે.દાસે રોક્યાકેબિનેટની બેઠક પહેલા મળતી COS-કમિટી ઓફ સેક્રેટરીઓની બેઠકમાં એજ્યુકેશનના એસીએસ-એડિશનલ ચીફ સેક્રેટીરી મુકેશકુમારે એક પ્રેઝન્ટેશન કર્યું હતું. હ્યુમન કેપિટ ફોર વિકસિત ભારત વિષય ઉપર મુકેશકુમારનું રસપ્રદ પ્રેઝન્ટેશન ઘણું લાંબુ હતું. તેઓ સતત બોલી રહ્યા હતા. અડધો કલાક બાદ મુખ્ય સચિવ એમ.કે.દાસે તેમને રોકતા કહ્યું કે તમે લાંબા સમયથી બોલી રહ્યાં છો, થોડું પાણી પી લો. કેમકે તમારે હજુ કેબિનેટની બેઠકમાં પણ બોલવાનું છે. કેબિનેટની બેઠક બાદ આઈએએસ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા હતા કે મોટા સાહેબ એટલે કે,મુખ્ય સચિવ કેબિનેટમાં ખખડાવતા હોય છે તેવી ઈમેજ છે પણ વાસ્તવિકતા એ પણ છે કે, જ્યારે જરુર પડે ત્યારે તેઓ પોતાના નીચેના અધિકારીઓનું પૂરતું ધ્યાન પણ રાખે છે. ઉદ્યોગમંત્રી અને 4 IAS સ્વિત્ઝર્લેન્ડ ગયાસ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં 19થી 23 જાન્યુઆરી દરમિયાન વર્લ્ડ ઈકોનોમી ફોરમની વાર્ષિક બેઠક મળી રહી છે. જેમાં સરકારમાંથી વૈશ્વિક નેતાઓ, બિઝનેસમેન,વિવિધ ફેકલ્ટીની નિષ્ણાતો ભાગ લેવાના છે. તેમજ વૈશ્વિક સમસ્યાઓના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરશે અને કઈ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય તેના સૂચનો કરી અભિપ્રાયો આપશે. સરકારની સૂચનાથી નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવી, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપ, ઉદ્યોગના એડિશનલ ચીફ સેક્રેટીરી મમતા વર્મા તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ પી.ભારતી સ્વિત્ઝર્લેન્ડના દાઓસ ગયા છે. આ બેઠકમાં જીઆઈએલના એમડી અરવિંદ વિજયન પણ જવાના હતા. પરંતુ છલ્લી ઘડીએ તેમનું કેન્સલ થયું હતું. ગુજરાતને શું અને કેટલો લાભ થશે તેની કોઈને ખબર નથીઆ મહાનુભાવો 17મીએ દાઓસ જવા રવાના થયા હતા. તેઓ 27મી જાન્યુઆરીથી ફરીથી ગાંધનગરમાં હાજર થઈ જશે. આ ફોરમ આર્થિક નીતિઓના સંદર્ભમાં ચર્ચા વિચારણા થવાની છે. આ મિટિંગ દરમિયાન એક ઈવેન્ટ એઆઈ રિલેટેડ છે. જો કે, તે પણ ઈકોનોમી બેઝ ઈવેન્ટ છે. જેને લઈને બ્યુરોક્રેટસમાં ચર્ચા શરુ થઈ છે કે, ડીએસટીના અધિકારીને આર્થિક બાબતોના સંદર્ભમાં કોઈ જ લેવા દેવા નથી. હવે આ મિટિંગ બાદ ગુજરાતને શું અને કેટલો લાભ થશે તેની કોઈને ખબર નથી. સાંસદ ખેલ મહોત્સવમાં તો જબરું થયુંગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો. વડાપ્રધાન મોદીએ દેશના તમામ સાંસદોને આ પ્રકારનો ખેલ મહોત્સવ યોજવા માટે જણાવ્યું હતું. જેને પગલે ગુજરાતના સાંસદોએ તેનો તુરંત જ અમલ કરી દીધો હતો. જો કે, મોટાભાગના સાંસદોને ખેલ રમોત્સવનું આયોજન કરવાનો કોઈ ખાસ અનુભવ ના હોવાથી અનેક પ્રકારના ગોટાળા સર્જાયા હતા. જેમ કે, સૌપ્રથમ વિવિધ રમતોમાં ભાગ લેવાની જાહેરાત કરાઈ હતી. ત્યાર બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું કહેવાયું હતું. જેમાં જુદી જુદી રમતો માટે અનેક ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મેચ રમ્યા નહીં છતાં સર્ટિફિકેટ મળ્યુંઆ અંગે સફળતાપૂર્વક નોંધણી થયાના મેસેજ પણ આવી ગયા હતા. ખેલાડીઓને મેચ ક્યારે રમાશે તેની ખબર નહોતી. એટલું જ નહી, સાંસદના કાર્યાલય દ્વારા પણ કોઈ જ જાણકારી અપાતી નહોતી. અંતે એવું થયું કે, ટુર્નામેન્ટની તમામ મેચ રમાઈ ગઈ અને નોંધણી કરાવનારા ખેલાડીઓ રાહ જોતા રહ્યા હતા. જેને લઈને વિવિધ મેચોમાં ખેલાડીઓની સંખ્યા ઘણી જ ઓછી દેખાતી હતી. ત્યાર બાદ હવે કેટલાય ખેલાડીઓના વોટ્સએપ પર સાંસદ ખેલ રમતોત્સવમાં ભાગ લેવા બદલનું સરસ છાપેલું સર્ટીફિકેટ આવ્યું હતું. કોઈ જ મેચમાં ભાગ ના લીધો હોવા છતાં પાર્ટીસિપેન્ટ સર્ટીફિકેટ આપી દેવાયા છે. IAS અધિકારીઓને સામાજિક કાર્યક્રમો કેન્સલ કરવા પડ્યાકેબિનેટની બેઠક ગાંધીગનરમાં દર બુધવારે સવારે મળતી હોય છે. પરંતુ આ બુધવારે ઉતરાયણની જાહેર રજા હોવાથી બેઠક મળી નહોતી. તે પહેલાના અઠવાડીયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવ્યા ત્યારે મુખ્યમંત્રી સહીતના મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ સહીતના સચિવો વાઈબ્રન્ટ સમિટ સહીતના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી એ બુધવારે પણ કેબિનેટ મળી શકી નહોતી. જો કે, ઉત્તરાયણ પહેલાના સોમવારે એવી ચર્ચા હતી કે, બુધવારે જાહેર રજા હોવાથી મંગળવારે કેબિનેટની બેઠક મળી શકશે નહીં. જેથી કેટલાક આઈએએસ અધિકારીઓએ હાશકારો લીધો હતો. તેમજ શુક્રવારે ઓફિસમાં રજા રાખીને સામાજિક કાર્યક્રમો પણ બનાવી દીધા હતા.બીજી બાજુ ગુરુવારે સાંજે બધાને મેસેજ મળ્યા કે, આવતીકાલે શુક્રવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળવાની છે. જેથી કાર્યક્રમોનું આયોજન કરનારા કેટલાક IAS અધિકારીઓનું પ્લાનિંગ બગડી ગયું હતું. તેમજ ઘરેથી ગાંધીનગર જવા માટે વહેલા નીકળવું પડ્યું હતું. જેને પોસ્ટીંગ જોઈએ છે તેને મળતું નથી, મળ્યું છે તે હાજર થતાં નથીગત ડિસેમ્બરમાં સરકારે બ્યુરોક્રેટ્સમાં સામૂહિક બદલીઓ દ્વારા મોટા અને ધરખમ ફેરફારો કર્યા હતા. ત્યાર બાદ કહીં ખુશી કહીં ગમનો માહોલ ઉભો થયો હતો. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાંથી બદલી કરાયેલા IAS અધિકારી અનુપમ આનંદને ક્યાંય મુકાયા નથી. એટલે કે, તેઓ હાલમાં સામાન્ય વહીવટ વિભાગના હવાલે છે. તેઓ પોસ્ટીંગ માટે રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ, દીલ્હી ડેપ્યુટેશન પર ગયેલા ડો. સંધ્યા ભુલ્લરને આરોગ્ય વિભાગમાં હેલ્થ કમિશનર-અર્બન તરીકે મુકાયા હતા. પરંતુ કોઈ ટેકનિકલ કારણસર હજુ સુધી તેઓ ગુજરાત પરત આવી શક્યા નથી. માટે હેલ્થ કમિશનર-રુરલ ડો.રતનકંવર ગઢવીને તેમનો વધારાનો હવાલો સોંપાયો છે. જેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે, જેમને પોસ્ટીંગની જરૂર છે તેમને મળતુ નથી જ્યારે જેમને પોસ્ટીંગ મળી ગયું છે તેને હાજર થવું નથી…જો કે એવું જાણવા મળે છે કે, અનુપમ આનંદને ઈસરોમાં ત્રણ વર્ષ માટે મુકવાનો નિર્ણય લેવાઈ ગયો છે. સ્પીપાએ તો રંગ રાખ્યોગુજરાતમાં યુપીએસસી પાસ કરનારાની સંખ્યા વધી રહી છે. જેને લઈને ઉજળી કારકિર્દી ધરાવતા ઉમેદવારોને પરીક્ષાના તાલીમ આપતી સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)નો ટ્રેક રેકોર્ડ ઘણો સુધરી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં આવેલી સ્પીપાના 160 ટ્રેઇનીઝ પર્સનાલિટી ટેસ્ટ સુધી પહોંચ્યા છે. જ્યારે આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં આ સંખ્યા 76 થઇ છે. જો કે અગાઉના વર્ષમાં યુપીએસસી મેઇન્સ ક્લિયર કરેલા ઉમેદવારો પણ પર્સનાલિટી ટેસ્ટમાં જોડાઇ શકતાં આંકડો વધી શકે છે. મહત્વનું છે કે સ્પીપાની તાલીમ માટે પ્રથમ સાત મહિના સુધી દર મહિને ઉમેદવારને બે હજારની સહાય આપવામાં આવે છે, જ્યારે પ્રિલિમ્સ અને મેઇન્સ ક્લિયર કરનાર યુવક-યુવતીને બે વખત અનુક્રમે 25 હજાર અને 30 હજાર પ્રોત્સાહક સહાય ચૂકવાય છે. ગુજરાતમાં રજિસ્ટ્રાર કેડરનું વજન વધ્યુંગુજરાતમાં IAS પસંદગીમાં અન્ય કેડરના અધિકારીઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રજિસ્ટ્રાર કેડરમાંથી સૌથી વધુ અધિકારીઓ IAS તરીકે પસંદ થયા છે. તાજેતરમાં બે જિલ્લા રજિસ્ટ્રાર અધિકારીઓ UPSCની પસંદગી માર્ગથી IAS બન્યા છે અને તેમને DoPTના આદેશ મુજબ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ ટ્રેન્ડને કારણે રાજ્ય વહીવટી સેવા અધિકારીઓમાં અસંતોષની ચર્ચાઓ પણ સામે આવી રહી છે. શિક્ષણ વિભાગમાં હાર્ડકોપી બંધ, ઑનલાઇન ટ્રેકિંગ શરૂપ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં પારદર્શિતા લાવવા માટે શાળા કમિશનરે હવે કોઈપણ હાર્ડકોપી ફાઈલ કે પત્રવ્યવહાર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે તમામ વહીવટી અને શૈક્ષણિક કામગીરી e-Governance પોર્ટલ મારફતે જ કરવી. હવે ફાઈલ ક્યાં અટકી છે અને કેટલા સમયથી અટકી છે તે સ્પષ્ટ રીતે ટ્રેક થઈ શકશે, જેના કારણે લાંચ અને વિલંબની ફરિયાદો ઘટવાની અપેક્ષા છે. પસંદગીના અધિકારીઓ માટે નિયમો અલગ?ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ વિભાગમાં બદલી અને ચાર્જ બાબતે અસંતોષ સામે આવી રહ્યો છે. કેટલાક અધિકારીઓ પર વારંવાર કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ છે, જ્યારે ગંભીર પ્રશ્નો હોવા છતાં કેટલાક અધિકારીઓ અસ્પર્શ્ય રહે છે તેવી ચર્ચા છે. આ મુદ્દે વિભાગની કાર્યપ્રણાલી અને નિર્ણય પ્રક્રિયા પર સવાલો ઊઠ્યા છે. પ્રદેશ નેતાએ ખૂણામાં ઉભા રહેવું પડ્યુંઉતરાયણના તહેવારની મજા ભાજપના નેતાઓએ પોતાના પરિવાર સાથે ઉજવી હતી. કેન્દ્રના એક મોટા નેતા પણ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી માટે કાર્યકર્તાઓને ત્યાં પહોંચ્યા ત્યારે પ્રદેશ ભાજપના એક નેતા પણ ત્યાં પહોંચી ગયા હતા. સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓ સાથે કેન્દ્રના નેતા બેસીને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ પ્રદેશના નેતાને ખૂણામાં ઊભા રહેવાની સ્થિતિ સર્જાઇ હતી. પ્રદેશમાં મહત્વનું સ્થાન ધરાવનારા આ નેતા ત્યાં પહોંચી ગયા અને તેમને સાહેબ જોડે બેસવા મળશે એવી આશા હતી. પરંતુ એક જગ્યાએ ખૂણામાં ઊભા રહેવું પડ્યું હતું. ભાજપના નેતાઓમાં ચર્ચા છે કે પ્રદેશના નેતા સાહેબની નજીક જવા ગયા હતા. પરંતુ નવા નવા બનેલા આ નેતા સાહેબને સારું લગાડવા પહોંચ્યા અને જોવા જેવી થઈ હતી. ધારાસભ્યો અને શહેર હોદ્દેદારો વચ્ચે સંકલનનો અભાવગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ શહેર અને જિલ્લામાં સંગઠનની ટીમ જાહેર કરવામાં આવશે. ત્યારે અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ હોય એવી ચર્ચા જાગી છે. ધારાસભ્યો અને શહેર હોદ્દેદારો વચ્ચે સંકલનનો અભાવ અને અણગમો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણીનો કાર્યક્રમ ખાનપુર કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપના મોટાભાગના સ્થાનિક, નેતાઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો ગેરહાજર જોવા મળ્યા હતા. કેટલાક નેતાઓ સમયસર આવવાની જગ્યાએ મોડા આવ્યા હતા. શહેર ભાજપમાં આંતરિક વિખવાદ ઘણો છે. નવા સંગઠનની જાહેરાત અને કોર્પોરેશનની ચૂંટણી જાહેર થયા બાદ કેટલાક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે ગોડફાધર્સનો ઝભ્ભો પકડી પદ માટે લોબિંગગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનની નવી ટીમની જાહેરાત બાદ જિલ્લા અને શહેરના નવા સંગઠનની જાહેરાત થવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ શહેર અને જિલ્લામાં સ્થાન મેળવવા માટે પોતાના ગોડફાધર પાસે પહોંચી ગયા છે. જિલ્લા અને શહેરની ટીમમાં સ્થાન મેળવવા માટે લોબિંગ કરી રહ્યા છે. પ્રદેશની ટીમમાં વિવિધ મોરચા, સેલ અને હોદ્દાઓમાં નિમણૂક મેળવવા માટે યુવા નેતાઓ સક્રિય થઈ ચૂક્યા છે. શહેર અને પ્રદેશની ટીમમાં સ્થાન મેળવવા અમદાવાદના મુખ્ય ત્રણ યુવા નેતાના નામ ચર્ચામાં છે. એક યુવા નેતાને પ્રદેશની ટીમમાં સ્થાન મળ્યું છે, જેથી એમની ટીમમાં રહેલા કેટલાક યુવા નેતાઓ આજકાલ તેમની આગળ પાછળ ફરી રહ્યા છે અને હવે ક્યાંક હોદ્દો મળી જશે એવી આશા લઈને કમલમના આંટા મારી રહ્યા છે. મોદીના કાર્યક્રમમાં સ્કેનર તો મૂક્યા પણ એક બંધ થઈ ગયુંતાજેતરમાં જ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઉદ્ઘાટન કરાયું હતું. જો કે ઉદ્ઘાટન કાર્યક્રમ પહેલા સવારે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા ત્યારે VVIP સુરક્ષાને લઈને સ્કેનર મશીન મૂકવામાં આવ્યું હતું. આ સ્કેનર મશીનમાં તપાસ બાદ જ સામાન લઈ જવા દેવામાં આવતો હતો. જો કે થોડા સમય માટે આ સ્કેનર મશીન ચાલુ હતું. પરંતુ અચાનક જ બંધ થઈ ગયું હતું. સ્કેનર મશીનમાં તપાસ માટે જે કર્મચારીઓને બેસાડ્યા હતા અને તેમને આ મશીનના ઉપયોગ કેવી રીતે કરવો તેનો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું જો કે આ સ્કેનર બંધ થઈ ગયા બાદ તમામ લોકોને ફિઝિકલ ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવો પડ્યો હતો. PI હવે IPS અધિકારીઓની બદલીઓની રાહમાં રાજ્યમાં કાયમી પોલીસ વડાની જગ્યાએ ઇન્ચાર્જ પોલીસવડા મૂક્યા બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલીઓની રાહ જોવાઈ રહી છે. જેની વચ્ચે હાલમાં અમદાવાદ શહેરમાં કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ હજી સુધી ન થતા અનેક ચર્ચા જાગી છે. આઇપીએસ અધિકારીઓની બદલીઓમાં અમદાવાદના 4 આઈપીએસની પણ બદલીની ચર્ચા ચાલી રહી છે. જેની વચ્ચે પોલીસ ઇન્સ્પેક્ટરોમાં ચર્ચા જાગી છે કે હવે આઇપીએસ અધિકારીઓની બદલીઓ જલ્દી આવે તો સારુ કારણ કે જો મોટા સાહેબોની બદલી થશે તો અમારો વારો આવશે. ગુજરાતના ઇન્ચાર્જ પોલીસવડા દ્વારા હજી સુધી કોઈ મોટા પાયે બદલીઓ અંગે ચર્ચા થઈ નથી ત્યારે હવે નવા કોઈ સાહેબ આવશે અને પછી બદલી થશે કે કેમ તેની પણ ચર્ચા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:00 am

ધામેલિયા પારિવારિક મહોત્સવનું આયોજન કરાયું:સંયુક્ત પરિવારમાં રહી સાસુ-સસરાની સેવા કરતી 11 પુત્રવધુઓનું વિશેષ સન્માન કરાયું

ધામેલિયા પરિવાર દ્વારા ધામેલિયા પારિવારિક મહોત્સવનું આયોજન બાપા સીતારામ પેલેસ ફાર્મ, એન્થમ સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં 140 ગામોના 6000થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન દરમિયાન ધામેલિયા પરિવાર યુવા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી તેમજ આવતા વર્ષે ધામેલિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ, બિઝનેસ એક્સ્પો, વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા પુસ્તક વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા.ઉપરાંત સંયુક્ત પરિવારમાં રહી સાસુ-સસરાની સેવા કરતી 11 પુત્રવધુઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા શક્તિ વિષય પર કિરણબેન ધામેલિયા તથા મિંકલબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુટુંબ વિભાજનથી અનેક સમસ્યાઓસમાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ છે તેને ફરી પાછી પ્રસ્થાપિત કરવાની ખૂબ જ જરૂર છે. કારણ કે સંયુક્ત કુટુંબોમાં રહેવું અને સાસુ સસરાની સેવા કરવી એ અત્યારના સમય પ્રમાણે સામાન્ય બાબત નથી .

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:59 am

ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ રેટ 20%થી વધી 95% થયો:રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે સુરતમાં 70 લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી જીવ બચાવ્યા

સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા સુરતમાં 70થી વધુ દર્દીઓના લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સીમાચીન્હ પ્રાપ્ત કર્યું છે. તેમાં પણ ટ્રાન્સપ્લાન્ટની તૈયારી કરી રહેલા 10 દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ ટાળીને દવાથી સાજા કર્યા છે. આ સાથે તેમણે શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની ત્રણ જટલી સર્જરી પણ કરી હતી. આ અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં ડો. ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલા લિવર ટ્રાન્સપ્લાન્ટમાં સક્સેસ રેટ 20 થી 25 ટકા જેટલો હતો જે હવે 95 ટકા જેટલો થઈ ગયો છે. એક કેસમાં ડ્યુઅલ લોબ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયુંશહેરમાં રહેતા પરેશભાઈ વાઘાણીને નવ વર્ષ પહેલા ફેટી લિવર ડિસિઝનું નિદાન થયું હતું. સમય જતા તેમની સ્થિતિ વધુ ગંભીર બની હતી અને યકૃતમાં બ્લીડીંગ થવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું અનિવાર્ય બન્યું હતું. આ કેસમાં તેમના પત્ની ડોનર તરીકે આગળ આવ્યા હતા. જોકે પત્નીનું લિવર સફીસયન્ટ ન હોવાથી ટ્રાન્સપ્લાન્ટ શક્ય ન હતું. ત્યારે આ કેસમાં તેમના પત્નીની સાથે તેમના બહેનના પણ લિવરનો ભાગ લઈ ડ્યૂઅલ લોબ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી 19 કલાક લાંબી ચાલી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:58 am