બોટાદમાં બંધ મકાનમાંથી દાગીના, રોકડની ચોરી:તુલસીનગર-2માં 1.30 લાખની મત્તાની ઉઠાંતરી
બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર આવેલા તુલસીનગર-2 વિસ્તારમાં એક બંધ મકાનમાંથી ચોરી થઈ છે. તસ્કરો સોનાના દાગીના અને રોકડા રૂ.1.30 લાખની મત્તા ચોરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તુલસીનગર-૨ના રહેવાસી મહાદેવભાઈ પડાણીયા તેમના પરિવાર સાથે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગામડે ગયા હતા. આજે તેઓ પરત ફરતા તેમના મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. મકાનમાં પ્રવેશ કરતા જ અંદરનો સામાન વેરવિખેર હાલતમાં હતો. મહાદેવભાઈના પત્ની આશાબેન પડાણીયાએ કબાટ તપાસતા તેમાં રાખેલા સોનાના ચેઈન, ટીકો, કાનની વીંટી સહિતના દાગીના અને રોકડા રૂ.1.30 લાખ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ ચોરીની ઘટના અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હાલ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
હિંમતનગરમાં બીકે શિવાની દીદીનું પ્રવચન:સદા સ્વસ્થ અને ખુશહાલ જીવનની કળા પર કર્મ-ભાગ્ય સમજાવ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા મોદી ગ્રાઉન્ડ પર ગુરુવારે બ્રહ્માકુમારી બીકે શિવાની દીદીએ 'સદા સ્વસ્થ અને ખુશહાલ જીવનની કળા' વિષય પર આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું. આ વિશાળ સભામાં તેમણે કર્મ અને ભાગ્યના સિદ્ધાંતોને ઉદાહરણો સાથે ઊંડાણપૂર્વક સમજાવ્યા હતા. આ પ્રવચન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સેવાકેન્દ્ર, હિંમતનગર દ્વારા ઈશ્વરીય સેવાના 50 વર્ષ પૂર્ણ થવા અને સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નવીન શાંતિ સરોવર ભવનનું નિર્માણ કાર્ય પણ પૂર્ણતાના આરે છે, જ્યાં ટૂંક સમયમાં સેવાઓ શરૂ થવા જઈ રહી છે. આ દિવ્ય પ્રવચન પૂર્વે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીકે શિવાની દીદીનું આગમન થયું હતું, જેમનું સ્વાગત કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય બાદ બીકે શિવાની દીદીનું પ્રવચન શરૂ થયું હતું, જેમાં તેમણે મનને સ્થિર કરવા માટે યોગ પણ કરાવ્યો હતો. પોતાના પ્રવચનમાં બીકે શિવાની દીદીએ કર્મ કોને કહેવાય અને ભાગ્યની સમજણ આપી હતી. તેમણે કર્મ-ભાગ્ય વિષય પર વિવિધ ઉદાહરણો આપીને સમજાવ્યું કે રોજ રાત્રે સૌએ માત્ર અડધી મિનિટ કર્મ અને ભાગ્યનો વિચાર કરી ક્ષમા કરવી અને ક્ષમા માંગવી જોઈએ, જેથી આત્મા શુદ્ધ રહે છે. આ પ્રસંગે બીકે શિવાની દીદી, બીકે જ્યોતિ દીદી, દીવ-દમણ-દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, આઈએફએસ સી.કે. સોનાવણે, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદભાઈ એમ. વોરા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં બીકે ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 20 અને 21 જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાત લેશે. તેમની આ મુલાકાત શિક્ષણ, પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા અને ગ્રામ વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. મુલાકાતના પ્રથમ દિવસે, 20 જાન્યુઆરીએ, રાજ્યપાલ વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તેઓ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે અને આશીર્વાદ આપશે. પદવીદાન સમારોહ બાદ રાજ્યપાલ તાલાલા તાલુકાના ઉમરેઠી ગામની મુલાકાત લેશે. ત્યાં તેઓ પ્રાકૃતિક કૃષિ અપનાવનારા ખેડૂતો સાથે 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'માં સીધો સંવાદ કરશે. તેઓ રાસાયણિક ખાતર અને દવાઓ વિના ખેતી કરીને જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂકશે. રાજ્યપાલ ઉમરેઠી ગામમાં રાત્રિ રોકાણ કરશે અને 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ'માં ભાગ લેશે. તેઓ ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો સમજવાનો પ્રયાસ કરશે. બીજા દિવસે, 21 જાન્યુઆરીએ, રાજ્યપાલ ઉમરેઠી ગામમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે અને વૃક્ષારોપણ કરશે. આ કાર્યક્રમો દ્વારા તેઓ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સ્વાવલંબનનો સંદેશ આપશે. રાજ્યપાલની મુલાકાતની પૂર્વ તૈયારી રૂપે કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે ખેતીવાડી, બાગાયત, પી.જી.વી.સી.એલ. સહિતના વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ, કૃષિ, સ્વચ્છતા અને ગ્રામ વિકાસ જેવા વિવિધ પાસાઓને આવરી લેતી રાજ્યપાલની આ બે દિવસીય મુલાકાત ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે તેવી અપેક્ષા છે.
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશે મનરેગા યોજનાનું નામ બદલી મહાત્મા ગાંધીનું નામ હટાવવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આ પગલાને મહાત્મા ગાંધી અને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતું. કોંગ્રેસે જણાવ્યું કે નવી યોજના શ્રમિકો માટે નુકસાનકારક સાબિત થશે. પત્રકાર પરિષદમાં પુંજા વંશે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, મનરેગા યોજનાનું ફંડ અન્ય યોજનાઓમાં તબદીલ કરી દેવાયું છે, જેના કારણે શ્રમિકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી શકશે નહીં. કોંગ્રેસ ભારત સરકાર દ્વારા મનરેગા રદ કરીને લાવવામાં આવેલા નવા કાયદાનો સખત વિરોધ કરે છે. આ મુદ્દે કોંગ્રેસે આગામી દિવસોમાં ગ્રામ પંચાયતથી ગાંધીનગર સુધી આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી ૩૧ જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. વંશે વધુમાં જણાવ્યું કે, વર્તમાન ભાજપ સરકાર શ્રમિકો, મહિલાઓ અને યુવાઓના નામે માત્ર કાગળ પર જ વાતો કરે છે. યુપીએ સરકારના સમયની જન સુખાકારી યોજનાઓના નામો બદલીને ગ્રામ્ય અર્થતંત્રને તોડી પાડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ગામડાઓનો વિકાસ થવાને બદલે તે ભાંગી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ શહેરીકરણ અને શહેરોના વિકાસના વિરોધી નથી, પરંતુ શહેરોની સમકક્ષ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ થવો જરૂરી છે. વર્તમાન સરકાર શહેરોના વિકાસ માટે પુષ્કળ બજેટ ફાળવી રહી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના બજેટમાં કાપ મૂકી રહી છે. મનરેગા યોજનાનું નામ બદલીને કેન્દ્રીયકરણ કરવા પાછળ ભાજપના લોકો અને પદાધિકારીઓને કમાણી કરાવી ભ્રષ્ટાચાર કરવાની મનસા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો. ગ્રામ પંચાયતોમાં થતા અમલીકરણને બદલે તાલુકા કક્ષાએ એક જ એજન્સીને કામ મંજૂર કરવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
ગોધરા-કાલોલ હાઈવે પર હિટ એન્ડ રન:તરવડા પાસે બેકાબૂ ઈકોએ ત્રણને અડફેટે લીધા, બેના મોત
ગોધરા-કાલોલ હાઈવે પર તરવડા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. એક બેકાબૂ ઈકો ગાડીએ ત્રણ રાહદારીઓને અડફેટે લેતા એક કિશોર સહિત બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. મૃતક બંને વ્યક્તિઓ હાલોલ તાલુકાના ગમીરપુરા ગામના રહેવાસી હતા. તેઓ કોઈ અંગત કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ધસી આવેલી ઈકોવાને તેમને ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ ઈકોવાનનો ચાલક ગાડી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં પોલીસે અજાણ્યા ઈકોવાન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મહીસાગર જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા 11 પક્ષીઓ અને એક ગાયને બચાવી સારવાર આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પતંગની દોરીથી ઘાયલ થતા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 'કરુણા અભિયાન' શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, મુનપુર, ડીટવાસ, ખાનપુર અને વિરપુર સહિતના તાલુકાઓમાં પશુ દવાખાનાઓ ખાતે વિશેષ સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા છે. જિલ્લાના સંતરામપુર, બાલાસિનોર અને લુણાવાડા તાલુકામાંથી આ 11 પક્ષીઓ અને એક ગાય ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs)ની મદદથી આ ઘાયલ પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ કરી નજીકના પશુ દવાખાના ખાતે સારવાર અપાઈ હતી. પશુ ચિકિત્સક ડૉ. કે. જે. ચૌહાણે માહિતી આપતા જણાવ્યું કે, ઘાયલ પક્ષીઓ માટે શહેરી વિસ્તારોમાં '1962 કરુણા એમ્બ્યુલન્સ' કાર્યરત છે. સરકારે '1962' અને '1926' એમ બે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. શહેરી વિસ્તારમાં ઘાયલ પક્ષી દેખાય તો '1962' પર ફોન કરવાથી કરુણા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી સારવાર આપશે. ગ્રામ્ય વિસ્તારોમાં '1926' (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) પર સંપર્ક કરવાથી વન વિભાગના કર્મચારીઓ પક્ષીને રેસ્ક્યુ કરી સારવાર માટે પહોંચાડશે. ડૉ. ચૌહાણે જનતાને અપીલ કરી કે, કોઈપણ જગ્યાએ ઘાયલ પશુ-પક્ષી જોવા મળે તો તેને જાતે હાથ લગાડવાને બદલે તરત જ '1962' અથવા '1926' પર જાણ કરવી જોઈએ. આનાથી સમયસર સારવાર મળી શકશે અને નિર્દોષ પક્ષીઓનો જીવ બચી શકશે. મહીસાગર જિલ્લામાં કાર્યરત સારવાર કેન્દ્રોના કંટ્રોલરૂમના ટેલીફોન નંબર પણ જાહેર કરાયા છે. જેમાં લુણાવાડા (02674 299121), સંતરામપુર (02675 220076, 02675 220546), બાલાસિનોર (02690 267714), ડીટવાસ (02675 240055), ખાનપુર (02674 288421) અને વિરપુર (02690 277714) પશુ દવાખાનાના કંટ્રોલરૂમનો સમાવેશ થાય છે.
ઈરાન પર ટ્રમ્પના નવા પ્રતિબંધ, ખામેનેઈના નજીકના સાથીઓ નિશાને, આઝાદીની માગને આપ્યું સમર્થન
US Sanctions Iran 2026: ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ ઈરાનના અનેક અધિકારીઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે, જેમાં તેમના પર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરવાનો અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગુરુવારે(15 જાન્યુઆરી) આ કાર્યવાહી કરી હતી. અમેરિકાએ સુપ્રીમ કાઉન્સિલ ફોર નેશનલ સિક્યુરિટીના સેક્રેટરી પર નિશાન સાધ્યું છે, અને આરોપ લગાવ્યો છે કે તેમણે વિરોધીઓ સામે હિંસા માટે હાકલ કરી હતી. આ ઉપરાંત, અમેરિકાએ 18 લોકો અને કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધા છે, જે ઈરાનની નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ગુપ્ત બેંકિંગ નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવે છે.
જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર ગુરુવારે સાંજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક પછી એક કુલ છ વાહનો ટકરાયા હતા. સદભાગ્યે, આ અકસ્માતમાં માત્ર બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદ પાસિંગની એક કાર રીક્ષા છકડાની પાછળ ટકરાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા છકડો અને કાર બંને રોડ પરથી ડિવાઈડર પર ચડી ગયા હતા. આ ઘટના બાદ પાછળથી આવી રહેલા અન્ય વાહનો પણ એક પછી એક ટકરાયા હતા. જેમાં એક મીની ટેમ્પો, એક ટ્રક, એક છોટા હાથી અને અન્ય એક કારનો સમાવેશ થાય છે. આ રીતે કુલ છ વાહનોની લાંબી કતાર એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં અમદાવાદ પાસિંગની કારમાં સવાર બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અન્ય કોઈ વાહનમાં સવાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ઘટનાની જાણ થતાં જ જામનગર ટ્રાફિક શાખાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે થોડા સમય માટે થયેલો ટ્રાફિક જામ હળવો થયો હતો.
વેરાવળ GIDCમાં પેટ્રોલપંપ નજીક ઝાડીમાં લાગી આગ:ફાયર વિભાગની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
વેરાવળ શહેરના GIDC વિસ્તારમાં ભાલપરા રોડ પર આવેલા પેટ્રોલપંપ અને પેપરના ગોડાઉન નજીક ઝાડીમાં આગ લાગી હતી. આ ઘટના આજે સાંજે બની હતી. વેરાવળ ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાની જાણકારી આજે સાંજે લગભગ 7 વાગ્યે 112 મારફતે વેરાવળ ફાયર કંટ્રોલ રૂમને મળી હતી. કોલમાં જણાવ્યા મુજબ, ભાલપરા રોડ પર GIDC વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપની સામે અને પેપરના ગોડાઉનની બાજુમાં આવેલી ઝાડીમાં આગ લાગી હતી. માહિતી મળતા જ વેરાવળ ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. DCO હરપાલસિંહ ખેરના માર્ગદર્શન હેઠળ FM જીતેન્દ્રસિંહ ગોહિલ અને FM દિનેશ કુહાડા મીની ફાયર ફાઇટર વાહન નંબર GJ-18-GB-9039 સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ટીમે ઝડપથી આગ પર કાબૂ મેળવી તેને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની વાત છે. આગનું સ્થળ પેટ્રોલપંપ અને પેપરના ગોડાઉનની અત્યંત નજીક હોવાથી, જો સમયસર આગને કાબૂમાં લેવામાં ન આવી હોત તો મોટી અને ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ફાયર વિભાગની સતર્કતા અને કાર્યક્ષમતાને કારણે આસપાસના વિસ્તારમાં મોટું નુકસાન થતું અટકાવવામાં આવ્યું. આગ લાગવાના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર ટીમની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિ તરત જ નિયંત્રણમાં આવી ગઈ હતી. ઘટના બાદ વિસ્તારને સલામત બનાવવામાં આવ્યો હતો અને આગ ફરી ન ભભૂકે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. વેરાવળ ફાયર વિભાગની આ સમયસૂચક કામગીરીને કારણે શહેરમાં એક મોટી દુર્ઘટના ટળી છે, અને તેમની કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
ગોધરામાં 'પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે છે. ટ્રસ્ટના સંચાલક તોફિકભાઈ મલેક અને તેમની ટીમ દર ગુરુવારે આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવે છે. શહેરની સિવિલ હોસ્પિટલ સામે આવેલા સરદાર નગર ખંડ નજીક દર ગુરુવારે આ ભોજન સેવા યોજાય છે. અહીં કોઈ પણ ભેદભાવ વગર તમામ ધર્મના લોકો ભોજનનો લાભ લે છે.ટ્રસ્ટ દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે, જેમાં દર ગુરુવારે મેનૂમાં અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે જે ભોજન લોકોને પીરસવામાં આવે છે, તે જ ભોજન ટ્રસ્ટના સભ્યો પણ ગ્રહણ કરે છે.સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના સગાઓ પણ અહીંથી ટિફિન ભરીને જમવાનું લઈ જાય છે. આનાથી તેમને બહારના મોંઘા ભોજન પર નિર્ભર રહેવું પડતું નથી. ટ્રસ્ટનો સંકલ્પ છે કે તેમના આંગણેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન જાય.આજના સમયમાં 'પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવતી આ નિઃશુલ્ક ભોજન સેવા સમાજમાં માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
વડોદરા જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા હોય તેવા 9 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યાં છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા તેવા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની સમયાંતર બદલીના હકુમ કરવામાં આવતા હોય છે. વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન, એજન્સી તથા લીવરીઝર્વમા ફરજ બજાવતા હોય તેવા 9 પીઆઇની સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સ્થાનિક પીઆઇની લીવ લીઝર્વ સહિતના સ્થળ પર બદલી કરાઇ છે. પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી આંતરિક બદલીઓના કારણે ઘણા અધિકારીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અધિકારીઓની આંતરિક બદલીના હુકમ કરાયા છે. જેને લઇને આ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોઓએ તાત્કાલિક બદલી વાળી જગ્યાએ હાજર થવા માટે પણ આદેશ ફરમાવવામાં આવ્યો છે.
વડોદરાના 9 PIની આંતરિક બદલી:SOG PI જે.એમ. ચાવડાની જગ્યાએ બી.એન.ગોહિલને મૂકાયા, જાણો સંપૂર્ણ લિસ્ટ
વડોદરા જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા હોય તેવા 9 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યાં છે. વહીવટી કારણોસર 9 PIની બદલીવડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા તેવા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની સમયાંતર બદલીના હુકમ કરવામાં આવતા હોય છે. વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન, એજન્સી તથા લીવરીઝર્વમા ફરજ બજાવતા હોય તેવા 9 પીઆઇની સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સ્થાનિક પીઆઇની લીવ લીઝર્વ સહિતના સ્થળ પર નિમણૂ કરાઇ છે. તમામ PIને તાત્કાલીક નવા સ્થળે હાજર થવા આદેશપોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી આંતરિક બદલીઓના કારણે ઘણા અધિકારીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અધિકારીઓની આંતરિક બદલીના હુકમ કરાયા છે. જેને લઇને આ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોઓએ તાત્કાલિક બદલી વાળી જગ્યાએ હાજર થવા માટે પણ આદેશ ફરમાવવામાં આવ્યો છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.
જૂનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજના આચાર્ય અને લોક પરંપરાના ઊંડા અભ્યાસુ ડો. બલરામ ચાવડાની સાહિત્ય સંશોધન ક્ષેત્રે પ્રતિષ્ઠિત 'કાગ એવોર્ડ' માટે પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત થતા જ સૌરાષ્ટ્રના સાહિત્ય અને શિક્ષણ જગતમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. લોકકવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ નિમિત્તે આગામી 21 ફેબ્રુઆરીના રોજ મજાદર ખાતે પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. સોરઠની ધરતીનું સંતાન અને સાહિત્યિક સફર ડો.બલરામ ચાવડાનો જન્મ ઓજત નદીના કાંઠે આવેલા ખૂંભડી ગામે થયો હતો. તેમને સાહિત્ય અને સંસ્કારનો વારસો માતા લાડુબેન અને પિતા પુંજાભાઈ ચાવડા પાસેથી મળ્યો છે. માણાવદરથી અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ડો. ચાવડાએ રાજકવિ વજમાલ મહેડુ વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી છે. ખાસ કરીને ચારણી સાહિત્યમાં ડિપ્લોમા કરીને તેમણે ચારણેત્તર વિદ્વાનોની હરોળમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે મોટું પ્રદાન ડો. બલરામ ચાવડાએ અત્યાર સુધીમાં 21 જેટલાં પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક સેમિનારોમાં તેમણે જ્ઞાન પીરસ્યું છે. એટલું જ નહીં, તેમની ગાઈડશીપ હેઠળ 11 જેટલા રિસર્ચ સ્કોલરો માર્ગદર્શન મેળવી ચૂક્યા છે. સાહિત્ય ક્ષેત્રે તેમના આ જ પ્રદાન બદલ ડિસેમ્બર 2025 માં તેમને 'અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ'થી પણ નવાજવામાં આવ્યા હતા. સંસ્થા અને સ્નેહીઓમાં ખુશીનો માહોલ શિક્ષણ અને સમાજ સેવા સાથે જોડાયેલા ડો. ચાવડાની આ સિદ્ધિ બદલ ડો. સુભાષ યુનિવર્સિટીના ફાઉન્ડર અને પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા સહિત સમગ્ર સુભાષ પરિવાર, મિત્રો અને સાહિત્યપ્રેમીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય સંકલ્પો અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ માટે તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે.
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભારતીનગરમાં રહેતા આરોપીએ તેના મિત્રની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનામાં આજ રોજ રાજકોટની કોર્ટે આરોપી રફિક સૈયદ બિનબકરને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. ગત તા.10.04.2023ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 16 વર્ષની ફરિયાદી સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પિતાના મિત્ર આરોપી રફિક બિનબકરએ સગીરાને તેનું એકટીવા તથા મોબાઈલ આપી જવાના બહાને ઘરે બોલાવી હતી અને ત્યારબાદ સગીરા ઉપર બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે ફરિયાદના આધારે પોલીસે આરોપી રફિકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને આરોપી વિરૂધ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. એક્ટિવા તથા મોબાઈલ દેવા બહાને સગીરાને ઘરે બોલાવી ચાર્જશીટ થયા બાદ કેસમાં પુરાવો શરૂ થતા પ્રોસિક્યુશન તરફે ફરિયાદી સગીરાની સોગંદ ઉપર પોક્સો કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી જેમાં ફરિયાદી સગીરાએ બનાવ અંગેની સંપૂર્ણ હકીકત કોર્ટમાં જણાવી અને જણાવ્યું કે, આરોપીએ તેણીને એકટીવા તથા મોબાઈલ દેવા માટે તેના ઘરે બોલાવી હતી જે દેવા માટે ઘરે પહોંચી ત્યારે આરોપીએ બારણું બંધ કરી તેની સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતુ આ સમયે મોઢે ચુંદડીનો ડુમો પણ આપ્યો હતો. પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા સગીરાએ આરોપીને કોર્ટમાં ઓળખી બતાવ્યો હતો અને આ કેસમાં પ્રોસિક્યુશન દ્વારા સગીરાના પિતાની જુબાની કોર્ટમાં લેવામાં આવતા તેમને સોગંદ ઉપર તેણીની સગીર દીકરી ઉપર આરોપીએ દુષ્કર્મ આચર્યાની હકીકત કોર્ટમાં જણાવી હતી તેમજ પ્રોસિક્યુશન દ્વારા આ કેસમાં ભોગ બનનાર સગીરાના ડોક્ટર તથા આરોપીના ડોક્ટરની જુબાની લેવામાં આવી હતી જેમાં ડોક્ટરે તેમની જુબાનીમાં તેઓએ કરેલ મેડિકલ તપાસણી અંગેની વિગતવાર જુબાની આપી હતી જેમાં મેડિકલ સેમ્પલો અંગેની હકીકતો જણાવી હતી. પ્રોસિક્યુશન દ્વારા આ કામના બનાવ સ્થળનું પંચનામું તેમજ બનાવ સ્થળેથી મળેલ મુદ્દામાલ અંગેના પંચોની પણ જુબાની કોર્ટમાં લેવામાં આવી હતી જેમાં પંચોએ પણ બનાવ સ્થળને ઓળખી બતાવી રૂબરૂ બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ ચુંદડી વગેરે બાબતની હકીકત કોર્ટમાં જણાવી મુદ્દામાલ કોર્ટમાં ઓળખી બતાવ્યો હતો. મેડિકલ રિપોર્ટ સહીત લેખિત પુરાવા કોર્ટમાં રજૂ કરાયા પ્રોસિક્યુશન દ્વારા આ કામમાં તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી જેમાં તેઓએ કરેલ કેસની સંપૂર્ણ તપાસ બાબતની જુબાની આપેલી તેમજ મુદ્દામાલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો જેનો અહેવાલ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રોસિક્યુશન દ્વારા સાહેદોની જુબાની તથા રજૂ રાખેલ દસ્તાવેજી પુરાવા લીસ્ટ ફરિયાદ, પંચનામાં, મેડિકલ સર્ટિફિકેટ તથા એફએસએલનો અહેવાલ સહિતના લેખિત ડોક્યુમેન્ટ પણ કોર્ટમાં રજૂ રાખ્યા હતા. આજીવન કેદની સજા ફટકારવામાં આવી સરકાર તરફે સરકારી વકીલે દલીલમાં જણાવ્યું કે, આરોપી 35 વર્ષની ઉંમરનો છે અને પરણિત છે જ્યારે સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેની પુત્રી સમાન સગીરા ઉપર બળજબરીથી આરોપીએ દુષ્કર્મ આચર્યું છે જે બાબતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી પણ જે અહેવાલ આવેલ છે તેમાં પણ પુરવાર થાય છે અને સગીરાના પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ આરોપીના સિમેન વિગેરેના ચિન્હો જણાઈ આવે છે. બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ ચુંદડીમાં પણ સગીરાની લાળ આવેલ હોવાનો એફએસએલમાં રિપોર્ટમાં ઉલ્લેખ છે જેથી આરોપીને કાયદામાં જણાવ્યા મુજબ વધુમાં વધુ સજા કરવી જોઈએ તે રજૂઆતને ધ્યાને રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના સેશન્સ જજ ટી.એસ.બ્રહ્મભટ્ટએ આરોપી રફિક બિનબકરને આજીવન કેદની સજા ફટકારી છે તથા સગીરાને રૂપિયા 5 લાખનું વળતર વિકટીમ કમ્પેન્સેશન એક્ટ અન્વયે આપવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.
ભાવનગરની સરટી હોસ્પિટલના લોન્ડ્રી મશીનમાં ધડાકો:એક વ્યક્તિને ઈજા, તાત્કાલિક સારવાર અપાઈ
ભાવનગરની સરટી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં કપડાં ધોવાના મશીનમાં અચાનક ધડાકો થયો હતો. આ ઘટનામાં ત્યાં કામ કરતા એક કર્મચારીને ઈજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, લોન્ડ્રી મશીનમાં કપડાં ધોવા માટે નાખવામાં આવ્યા હતા. તે સમયે અચાનક કોઈ કારણોસર મશીનમાં દબાણ વધી ગયું હતું. જ્યારે મશીનનું ઢાંકણું ખોલવામાં આવ્યું ત્યારે ધડાકો થયો હતો.ધડાકાના કારણે જયકિશન ઉર્ફે જેકી હરેશભાઈ ગોહેલ નામના કર્મચારીને ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ હોસ્પિટલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને મોટી સફળતા મળી છે. 14 જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલી એક પાકિસ્તાની માછીમારી બોટને ઝડપી પાડવામાં આવી હતી. IMBL નજીક કોસ્ટ ગાર્ડના જહાજે આ બોટને જોઈ હતી. સૂચના આપવા છતાં બોટે પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોસ્ટ ગાર્ડે સતર્કતા દાખવી તેને ભારતીય સીમામાં જ અટકાવી દીધી. તપાસ દરમિયાન બોટનું નામ 'AL-MADINA' હોવાનું અને તેમાં 9 ક્રૂ સભ્યો હોવાનું જાણવા મળ્યું. પકડાયેલી બોટ અને તેના ક્રૂને વધુ તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજ મારફતે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. અહીં બોટના દસ્તાવેજો, ક્રૂની ઓળખ અને ભારતીય સીમામાં પ્રવેશના હેતુ અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની રાષ્ટ્રના દરિયાઈ ક્ષેત્રમાં સતત દેખરેખ, સતર્કતા અને કાયદાના કડક અમલનું ઉદાહરણ પૂરું પાડે છે. કોસ્ટ ગાર્ડે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા માટે તેઓ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. =
બોટાદના તુરખા ગામે એક પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નાનીબેન પરમાર નામની એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના આજે બપોરના સમયે બની હતી, જ્યારે પરિવાર ઘરે જમી રહ્યો હતો. તે સમયે નાગજી સાગઠીયા અને મનોજભાઈ સહિત પાંચ જેટલા શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે આવી પરિવાર પર તૂટી પડ્યા હતા. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ગત 12 તારીખે એક સગીરાને ભગાડી જવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેની દાઝ રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ચાર ઘાયલોને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગેની માહિતી તુરખા ગામના મૃતકના સગા લીલાબેને હોસ્પિટલ ખાતેથી આપી હતી.
મોરબીના ધરમપુર ગામ નજીક એક પુલ પરથી બુધવારે રાત્રે એક થાર ગાડી નદીમાં ખાબકી હતી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, કારમાં સવાર ચાર વ્યક્તિઓ હેમખેમ બહાર નીકળી ગયા હતા અને ઘટનાસ્થળેથી રવાના થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આજે ક્રેનની મદદથી નદીમાં પડેલી થાર ગાડીને બહાર કાઢવામાં આવી હતી. સિંગલ પટ્ટીનો રોડ હોવાને કારણે ગાડી બહાર કાઢવાની કામગીરી દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, થાર ગાડીનું સ્ટિયરિંગ લોક થઈ ગયું હોવાથી ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જોકે, આ મામલે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
04 એપ્રિલ, 2025થી 03 એપ્રિલ, 2026ના એક વર્ષના સમયગાળા માટે સરકારી કચેરીઓમાં ધરણા પર પ્રતિબંધ લાદતા જાહેરનામાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયાએ વકીલ ઝમીર શેખ મારફતે દેવભૂમિ દ્વારકાના એડિશનલ કલેક્ટરના જાહેરનામાને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી પડકાર્યું હતું. હાઇકોર્ટની સરકારની નોટિસઆજરોજ અરજીની સુનવણી થતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને પ્રશ્ન કરી નોટિસ ફટકારવામાં આવી જે સંદર્ભે વધુ સુનાવણી આગામી સમયમાં યોજાશે. અરજદારે રજૂઆત કરી હતી કે સરકારની અધિકૃત પરવાનગી વગર આવું જાહેરનામું 15 દિવસ કરતા વધુ ટકી શકે નહીં. આવુ જાહેરનામું લોકોની સ્વતંત્રતા અને બંધારણીય હક્કો ઉપર રોક સમાન છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા દ્વારા તારીખ 04 એપ્રિલ, 2025ના રોજ બોમ્બે પોલીસ એક્ટ 1951ની કલમ 37(3) મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવેલ હતું કે દેવભૂમિ દ્વારકામાં આવેલા તમામ રાજ્ય સરકારના વિભાગો હસ્તકની કે તેના તાબાની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસોની કે તેમના તાબાની તમામ કચેરીઓ ખાતે તથા આ કચેરીઓના કમ્પાઉન્ડ તેમજ મુખ્ય જાહેર માર્ગ ઉપર ઉપવાસ,ધરણ,ભૂખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતાં વધુ માણસોએ એકત્રિત કે કચેરીના 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કર્યા બાદ સભા સરઘસ સૂત્રોચાર કરવા જેવા કૃતિઓની મનાઈ ફરમાવે છે.
ડાંગમાં 108 એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી:ગાયગોઠણ પાસે માતા અને નવજાતને મળ્યું નવજીવન
ડાંગ જિલ્લામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ એક પ્રસૂતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો છે. સુબીર તાલુકાના ગાયગોઠણ ગામ પાસે એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. કાકશાળા ગામની 26 વર્ષીય તારાબેન લાઝરસભાઈ ગામિતને તબીબી તકલીફોના કારણે સુબીર સી.એચ.સી.થી આહવા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ તેમની બીજી પ્રેગ્નન્સી હતી અને તેમને લેબર પેન, પગમાં સોજો તેમજ હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હતી. 108 ઇમરજન્સી સેવા દ્વારા તેમને તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, રસ્તામાં જ પ્રસૂતિ પીડા અચાનક વધી જતાં, 108 ટીમે તાત્કાલિક નિર્ણય લઈને ગાયગોઠણ ગામ પાસે એમ્બ્યુલન્સની અંદર જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી. ડિલિવરી બાદ 108 ટીમે અમદાવાદ સ્થિત ફિઝીશિયન ડોક્ટરનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. મળેલી સલાહ મુજબ પ્રસૂતા માતાને જરૂરી ઇન્જેક્શન અને પ્રાથમિક તબીબી સારવાર આપવામાં આવી. ત્યારબાદ માતા અને નવજાત બાળકને સલામત રીતે આહવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કામગીરી દરમિયાન 108 ટીમના EMT કપિલ બાગુલ અને પાઇલોટ કીરણ ભોયે સમયસૂચકતા, કુશળતા અને ધૈર્યપૂર્વક પોતાની જવાબદારી નિભાવી હતી. તેમની તત્પર કામગીરીના કારણે કોઈ પણ જટિલ પરિસ્થિતિ સર્જાઈ નહોતી. આ ઘટનાથી પ્રસૂતાના પરિવારજનોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી અને તેમણે 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 2007થી કાર્યરત 108 ઇમરજન્સી સેવા આપત્તિના સમયમાં જીવનરક્ષક જીવાદોરી સમાન બની રહી છે, જે અનેક પરિવારો માટે આશાનું કિરણ છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં એક નીલગાયને ઊંડા ખાડામાંથી સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી છે. સંતરામપુર વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટના સંતરામપુર તાલુકાના સરસવા પશ્ચિમ ગામમાં બની હતી. ગામના એક ખેડૂતના ખેતરમાં આવેલા ઊંડા ખાડામાં નીલગાય પડી ગઈ હતી. આ અંગે વન વિભાગને જાણ થતાં જ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. દોરડા અને સીડીનો ઉપયોગ કરીને નીલગાયને ખાડામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન સફળ થયા બાદ, બંને ટીમો દ્વારા નીલગાયની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કોઈ ઈજા ન થઈ હોવાનું સુનિશ્ચિત કરીને સલામત રીતે નજીકના જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી.
કાંકણોલ બ્રિજ પર લક્ઝરીમાંથી દારૂ ઝડપાયો:રૂ. 2.02 લાખની 569 બોટલો સાથે 9 યુવાનો પકડાયા
સાબરકાંઠા જિલ્લાના કાંકણોલ બ્રિજ પરથી એ-ડિવિઝન પોલીસે એક ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 2.02 લાખની કિંમતની 569 બોટલો સાથે નવ યુવાનોની ધરપકડ કરી છે. કુલ રૂ. 2.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ-ડિવિઝનના PI પી.એમ. ચૌધરીએ જણાવ્યું કે, પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી આવતી એલ.કે. ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં કેટલાક લોકો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઈને હિંમતનગર થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે કાંકણોલ બ્રિજ પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. બાતમી મુજબ, પોલીસે MP.44.ZE.8288 નંબરની લક્ઝરી બસને અટકાવી હતી. બસના ચાલક રામલાલ બાલુજી મીણાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બસમાં બેઠેલા અન્ય મુસાફરોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. લક્ઝરી બસની ડીકીમાં તપાસ કરતાં તેમાંથી દારૂ અને બિયરની કુલ 569 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત, એક મુસાફર પાસેથી રૂ. 1900 રોકડા અને રૂ. 5000ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના પરેડા, મીઠીમહુડી, માંડવા, ઝીંઝવા અને આકોલાના કુલ નવ યુવાનોની દારૂની હેરાફેરીમાં સંડોવણી બદલ અટકાયત કરી હતી. પોલીસે કુલ રૂ. 2,09,140નો મુદ્દામાલ કબજે કરી નવ આરોપીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ અને સરનામા નીચે મુજબ છે 1. પિન્ટુલાલ ગણેશલાલજી દામા (રહે. પરોડા) 2. અક્ષયકુમાર રમેશચંદ્ર ડામોર (રહે. મીઠીમહુડી) 3. સુનિલ જીવારામ ખરાડી (રહે. માંડવા) 4. અનિલ મોહનજી કલાસવા (રહે. ઝીંઝવા) 5. નિલેશ બાબુલાલજી મીણા (રહે. મીઠીમહુડી) 6. પ્રદિપ બાબુલાલજી મીણા (રહે. મીઠીમહુડી) 7. સુખલાલ રમેશચંદ્ર મીણા (રહે. મીઠીમહુડી) 8. હરીશચંદ્ર રમેશચંદ્ર મીણા (રહે. મીઠીમહુડી) 9. રામલાલ બાલુજી મીણા (રહે. આકોલા)
ઉત્તરાયણના પર્વ દરમિયાન આકાશમાં ઉડતી પતંગોની સાથે ઘાતક દોરાઓ મૂંગા પક્ષીઓ માટે આફત બનીને ત્રાટક્યા હતા. મહેસાણામાં પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવેલા 'કરુણા અભિયાન' હેઠળ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. 11 થી 16 જાન્યુઆરી દરમિયાન કુલ 45 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી તેમને નવજીવન આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મહેસાણાના પશુ દવાખાને ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ કામગીરીમાં છેલ્લા ઘણા વર્ષોથી વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત વાઈલ્ડ લાઈફ વોરિયર્સ વોલેન્ટરી ટીમના ચિરાગ પંચાલ, પ્રતીક સુથાર અને રાજ રાવળ જોડાયા હતા. તેમની સાથે કરુણા અભિયાનની ટીમમાંથી માસૂમ પટેલ, ચેતન પ્રજાપતિ, જીગર ઠાકોર અને કેતન રાવલે ખડેપગે રહીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સારવાર કેન્દ્ર પર આવેલા કેસોની વિગતો મુજબ, અત્યાર સુધીમાં 35 કબૂતર, 1 ઘુવડ, 3 આઈબીસ, 3 સમડી, 1 મોર અને 1 વાંદરાને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 1 સાપનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોકે, કમનસીબે ગંભીર ઇજાઓને કારણે 1 બગલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તહેવારના આનંદ વચ્ચે પક્ષીઓ પ્રત્યે સંવેદના દાખવીને આ યુવા સ્વયંસેવકોએ રાત-દિવસ જોયા વગર કરેલી આ કામગીરીને નગરજનોએ બિરદાવી હતી. કરુણા અભિયાન હેઠળની આ સતર્કતાને કારણે અનેક પક્ષીઓને સમયસર સારવાર મળતા તેમનો જીવ બચી શક્યો છે
ગત કેટલાક દિવસોમાં ટીમ દ્વારા એરપોર્ટના રનવે, ટેક્સીવેઝ, એપ્રન જેવા વિસ્તારોમાંથી 5,000થી વધુ પતંગો એકત્રિત કરવામાં આવ્યા છે. આશરે 10થી 12 સભ્યોની ટીમે સતત પેટ્રોલિંગ કરીને પતંગો મેળવી હતી. આ કારણોસર અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી અનેક ફ્લાઇટ્સમાં આજે વિલંબ નોંધાયો છે. વાસી ઉત્તરાયણના દિવસે રનવે પર પતંગ આવી પડતા એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનમાં અડચણ ઉભી થઈ હતી, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વાસી ઉત્તરાયણના દિવસે પતંગબાજીની અસર અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચી છે. રનવે પર પતંગ આવી જતા સુરક્ષાના કારણોસર થોડીવાર માટે ફ્લાઇટની આવક-જાવક રોકવી પડી, જેના કારણે અનેક અરાઇવલ અને ડિપાર્ચર ફ્લાઇટ્સ ડીલે થઈ છે. અરાઇવલ ફ્લાઇટ ઈન્ડિગો: મુંબઈ-5251 જેદ્દાહ-76 અબુધાબી-1406 દિલ્હી-2033 દુબઇ-1478 દેહરાદૂન-569 ગોવા-2116 દિલ્હી-163 શ્રીનગર-6266 ચંદીગઢ-112 જમ્મુ-6109 ગાઝિયાબાદ-2568 જયપુર-7524 મુંબઈ-683 અકાસા એર: કોલકાતા-1926 ગોવા-1534 સ્ટાર એર: નાંદેડ-218 જામનગર-615 પૂર્ણિયા-619 નવી મુંબઈ-704 એર ઇન્ડિયા: મુંબઈ-2503 ડિપાર્ચર ફ્લાઇટ ઈન્ડિગો: જયપુર-7261 દિલ્હ-5226 કોલકાતા-6071 મુંબઈ-5346 હૈદરાબાદ-6728 ભુવનેશ્વર-6013
વાસી ઉતરાયણના દિવસે અમદાવાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની નજીક જ એક હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પોલીસે દરોડો પાડીને 30 લોકોને પકડી પાડ્યા છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી શ્રી સોસાયટી નજીકના સેન્ટેનિયલ વિસ્ટા બિલ્ડિંગમાં ચાલી રહેલી DJ પાર્ટીમાં શરાબ, ડાન્સ અને ધમાલનો માહોલ હતો. કંટ્રોલરૂમમાં મળેલી ફરિયાદ બાદ યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર પહોંચી હતી. પોલીસે 30 લોકોની ધરપકડ કરીપોલીસે દરોડા દરમિયાન 30 લોકોને ઝડપી લીધા હતા, જેમાં એક જાણીતા બિલ્ડરનો દીકરો દરોડા પડતા પાર્ટીમાંથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે હવે પાર્ટીની કાર્યવાહી અટકાવવા માટે IPS અધિકારીઓની ભલામણોનો દોર શરૂ થઈ ગયો છે. સૂત્રો અનુસાર, આ પાર્ટીમાં ગેરકાયદેસર શરાબનું સેવન થતું હોવાનું અને ઊંચા અવાજમાં DJ મ્યુઝિક ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળેથી શરાબની બોટલો, DJ સેટઅપ અને અન્ય પુરાવા જપ્ત કર્યાપોલીસે ઘટનાસ્થળેથી શરાબની બોટલો, DJ સેટઅપ અને અન્ય પુરાવા જપ્ત કર્યા છે. આ કેસમાં ગુન્હા નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના યુનિવર્સિટી વિસ્તારમાં યુવાનોમાં ફેલાતી ગેરકાયદેસર પાર્ટીઓ અને તેના પરિણામો વિશે ફરી એક વખત ચર્ચા શરૂ કરી દીધી છે. ઉત્તરાયણના તહેવાર વચ્ચે આવી ઘટનાઓએ સ્થાનિક વહીવટી તંત્રને પણ ચેતવણી આપી છે કે, તહેવારના નામે કાયદાનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.
સુરતમાં સંગઠિત ગુનાખોરી અને સાયબર ફ્રોડ આચરતી ટોળકીઓ વિરુદ્ધ પોલીસ કમિશનરના આદેશથી કડક કાર્યવાહી ચાલી રહી છે. આ કડીમાં મોટા વરાછા વિસ્તારમાં સાયબર ફ્રોડના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયા બાદ, મિલન દરજી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં તપાસ કરી રહેલી પોલીસે ગેંગના સક્રિય સભ્ય રજની કાછડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર નેટવર્ક મિલન દરજી દ્વારા ચલાવાતુંઘટનાની વિગત મુજબ, થોડા સમય પૂર્વે સુરત પોલીસે મોટા વરાછા સ્થિત સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ સ્થળેથી કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન દ્વારા મોટા પાયે સાયબર ફ્રોડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ રેડ બાદ તપાસનો ધમધમાટ તેજ બન્યો હતો અને સમગ્ર નેટવર્ક મિલન દરજી દ્વારા ચલાવવામાં આવતું હોવાનું ખુલ્યું હતું. ગુનાની ગંભીરતા જોતા પોલીસે આ ગેંગ પર ગુજસીટોકનો ગાળિયો કસ્યો હતો. ભાડે એકાઉન્ટ મેળવી આચરતા છેતરપિંડીતપાસમાં ખુલાસો થયો છે કે મિલન દરજી અને તેની ગેંગ નિર્દોષ લોકોના બેંક એકાઉન્ટ્સ ભાડે મેળવતી હતી. આ એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના ગુનાહિત નાણાં મંગાવવામાં આવતા હતા. ધરપકડ કરાયેલો આરોપી રજની કાછડીયા વર્ષ 2023થી મુખ્ય સૂત્રધાર મિલન દરજીનો અંગત મિત્ર છે અને તે એકાઉન્ટની વ્યવસ્થા કરવામાં તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં ગેંગને મદદ કરતો હતો. અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડપોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ એટલી સક્રિય હતી કે તેમની વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં 200થી વધુ ફરિયાદો નોંધાઈ ચુકી છે. આ કેસમાં પોલીસ અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. રજની કાછડીયાની પૂછપરછમાં અન્ય કેટલાક નામો અને બેંક એકાઉન્ટની વિગતો સામે આવવાની શક્યતા છે. પોલીસની કડક કાર્યવાહીસુરત પોલીસ સાયબર ફ્રોડના આ મસમોટા કૌભાંડમાં સામેલ તમામ આરોપીઓને જેલ ભેગા કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. રજની કાછડીયાની ધરપકડથી આ ગેંગના આર્થિક વહેવટોની કડીઓ મળવાની આશા છે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર તથા ફ્લાવર ગાર્ડન ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને શહેરીજનોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળતા રિવરફ્રન્ટ પરના મુલાકાતનો સમય વધારવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. 16 જાન્યુઆરી 2026થી મુલાકાતીઓ ફ્લાવર શો રાત્રે 10:00 વાગ્યા સુધી નિહાળી શકશે જ્યારે ટિકિટ રાત્રે 9:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓએ રાત્રિના 10:00 વાગ્યા સુધીમાં મુલાકાત પૂર્ણ કરવાની રહેશે. નાગરિકોને ફ્લાવર શોનો આનંદ મળી રહે તે હેતુસર રાત્રિના સમયમાં VIP ટિકિટ વ્યવસ્થા હવે ઉપલબ્ધ રહેશે નહીં. જ્યારે સવારની VIP ટિકિટ વ્યવસ્થા યથાવત રહેશે..સવારના 07:00 વાગ્યાથી 08:00 વાગ્યા સુધી VIP ટિકિટ ઉપલબ્ધ રહેશે તથા VIP મુલાકાત સમય સવારના 08:00 થી 09:00 વાગ્યા સુધી રહેશે. આ ફ્લાવર શો દરમિયાન 12 વર્ષથી નીચેના બાળકો, સૈનિકો તેમજ વિકલાંગ વ્યક્તિઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. 12 વર્ષથી ઉપરના તમામ મુલાકાતીઓ માટે ટિકિટ ફરજિયાત રહેશે.
પ્રેમ, પેશન અને પરિવારનો સપોર્ટ:માનસી પારેખ અમદાવાદની મુલાકાતે, પોળમાં પતંગ ચગાવી ઉત્તરાયણ ઉજવી
નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ માનસી પારેખ એક ટીવી સિરિયલના પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા હતા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં માનસી પારેખે જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે અહીં ઉત્તરાયણ ઉજવવા આવે છે. ખાસ કરીને પોળમાં. તો આ વખતે પણ તેઓએ પતંગ ચગાવીને ઉત્તરાયણ સેલિબ્રેટ કરી હતી. એક સ્ત્રી તરીકે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીના પડકારો, ‘લાલો’ની ઐતિહાસિક સફળતા અને દીકરીઓના સશક્તિકરણ પર મજબૂત સંદેશ આપ્યો હતો. આ દરમિયાન તેઓનું એક ગીત, 'આપણે જ રાજા ને રાણી' ગાયું હતું. દરેકને પોતાની સમસ્યાઓ પોતે જ સોલ્વ કરવી પડે છેદિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી અને પ્રોડ્યુસર માનસી પારેખે પોતાની જર્ની, પડકારો અને સફળતાની વાત ખૂબ જ ખુલ્લા દિલથી કરી હતી. એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરતાં માનસી પારેખે કહ્યું કે આ ફિલ્ડ ચોક્કસ રીતે ચેલેન્જિંગ છે. અહીં કોઈ રૂલ્સ કે ફોર્મ્યુલા નથી અને દરેકને પોતાની સમસ્યાઓ પોતે જ સોલ્વ કરવી પડે છે. તેમ છતાં જો કામ પ્રત્યે સાચો પ્રેમ અને પેશન હોય, તો દરેક મુશ્કેલીનો સામનો કરી શકાય છે. માનસી પારેખે જણાવ્યું કે ટેલિવિઝનથી શરૂ કરેલી તેમની સફરમાં ઓડિયન્સનો પ્રેમ હંમેશા સાથે રહ્યો છે અને આજે જ્યારે તેઓ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે ત્યારે પણ એ જ પ્રેમ મળી રહ્યો છે. સાથે જ તેમણે આવનારા હિન્દી પ્રોજેક્ટની પણ જાહેરાત કરી, જે આગામી અઠવાડિયે અનાઉન્સ થવાનો છે. ‘લાલો’ની સફળતા ગુજરાતી સિનેપ્રેમીઓ માટે ગર્વની ક્ષણગુજરાતી સિનેમાની ઐતિહાસિક સફળતા ‘લાલો’ વિશે બોલતાં માનસી પારેખે તેને ગુજરાતી ભાષા અને પ્રાદેશિક સિનેમા માટે ગર્વની ક્ષણ ગણાવી. 120 કરોડ રૂપિયાનો આ આંકડો એ સાબિત કરે છે કે ગુજરાતી ફિલ્મોને જોવા માટે દેશ-વિદેશમાં વિશાળ ઓડિયન્સ તૈયાર છે. સહ-પ્રોડ્યુસર તરીકે આ સફળતા તેમના અને પાર્થિવ ગોહિલ માટે વિશેષ ગર્વની વાત છે. તેઓ ભવિષ્યમાં પણ અલગ-અલગ અને મજબૂત સ્ટોરીઝને સપોર્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. દીકરીઓના વિકાસ અને સમાજના પડકારો અંગે વાત કરતાં માનસી પારેખે તેમના માતા-પિતાના મજબૂત સપોર્ટને પોતાની તાકાત ગણાવી કહ્યું કે તેમના ઘરમાં ક્યારેય દીકરી-દીકરાનો ભેદભાવ ન થયો. આજે પોતાની દીકરી માટે પણ તેઓ એ જ સંદેશ આપે છે કે, છોકરી હોવાના કારણે કોઈ સપનાઓ પર રોક ન હોવી જોઈએ. માનસી પારેખનો સંદેશ સ્પષ્ટ છે કે, જ્યારે પરિવારનો સપોર્ટ, પોતાના કામ પ્રત્યે પેશન અને અંદરનો ફાયર હોય, ત્યારે કોઈ પણ દીકરી કોઈ પણ પડકાર સામે લડી શકે છે અને સફળતા મેળવી શકે છે.
ઈરાન અત્યારે સળગી રહ્યું છે. અમેરિકાની હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ ન્યુઝ એજન્સી મુજબ 2 હજાર લોકોના મોત થયા છે પણ ઈરાની એક્ટિવિસ્ટ દાવો કરે છે કે પ્રદર્શનમાં 12 હજારથી 20 હજાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ હિંસા પાછળ વિલન અમેરિકાના વ્હાઈટ હાઉસમાં બેઠેલા ટ્રમ્પ છે કે ઈરાનના ઈસ્લામિક સરકારના સર્વેસર્વા ખોમૈની? ઈરાનનું અર્થતંત્ર કેવી રીતે તળિયે પહોંચ્યું અને 1 ડોલરની કિંમત 15 લાખ રિયાલ કેવી રીતે પહોંચી છે? જાણીએ ઈરાની લોકોનું ધાર્મિક સરકાર સામેનું આંદોલન અને ભારતને આનાથી શું લેવા દેવા? અને કયા એ પાંચ સંકેત છે જેથી લાગી રહ્યું છે કે અમેરિકા ઈરાન પર હુમલો કરી દેશે? નમસ્કાર... શું તમને ખબર છે? ઈરાનની ગલીઓમાં અત્યારે જે ગોળીબાર થઈ રહ્યો છે, તેની સીધી અસર જમ્મુ કાશ્મીરના 2 હજાર પરિવારોના ઘર અને રસોડા સુધી પહોંચી છે? જી હા, ઈરાનમાં ભણતા 6000 ભારતીય વિદ્યાર્થીઓ, જેમાં મોટાભાગના કાશ્મીરી છે, અત્યારે મોત અને જિંદગી વચ્ચે ઝૂલી રહ્યા છે. આ માત્ર તેહરાનનો આંતરિક મામલો નથી; આ એક એવી ગ્લોબલ ગેમ છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે 25% ટેરિફનું પત્તું ફેંકીને આખી દુનિયાના વેપાર ગણિતને હલાવીને રાખી દીધું છે. અને હવે વર્ષ 2026ના શરૂઆતના સૌથી ભયાનક સમાચાર. અમેરિકાના પાંચ એક્શનના કારણે એવું લાગી રહ્યું છે કે તે ઈરાન પર ગમે ત્યારે પણ હુમલો કરી શકે છે. હવે જે દેશની વાત કરી રહ્યા છીએ તેના સર્વેસર્વા ઈસ્લામિક લીડર ખોમૈની વિશે પણ થોડું જાણીએ. ઇરાનની વર્તમાન સ્થિતિ ભારતથી 3 હજાર કિલોમીટર દૂર ઈરાન છે. હિંસાનો સત્તાવાર મૃત્યુઆંક 2 હજારથી વધુ છે, જ્યારે બિનસત્તાવાર આંકડો 20 હજારથી વધુ છે. રાજધાની તેહરાન, આલ્બોર્ઝ, લોરેસ્તાન, ચાહરમહાલ, બખ્તિયારી અને ફાર્સ સૌથી વધુ અસરગ્રસ્ત છે. 13 જાન્યુઆરી 2026ના રોજ 26 વર્ષના યુવાન પ્રદર્શનકારી ઈરફાન સોલતાનીને ફાંસી આપવાની જાહેરાત થઈ. ઈરફાન માત્ર એક નામ નથી, પણ ઈરાની યુવાનોના આક્રોશનું પ્રતીક બની ગયો છે. તેના જીવ બચાવવા માટે જ્યારે દુનિયા આજીજી કરી રહી હતી, ત્યારે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર વિસ્ફોટક પોસ્ટ મૂકીને તરત જ ઈરાની યુવાનોને લલકાર્યા. લોહીથી ખરડાયેલો ઈરાનનો ઈતિહાસ 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછી અત્યાર સુધીમાં અંદાજે 51 લાખ લોકોએ દેશ છોડ્યો છે. ચાર વર્ષમાં જ 12 લાખથી વધુ ઇરાનીઓ અન્ય દેશોમાં જતાં રહ્યા છે. આજે દર 15માંથી 1 ઇરાની વિદેશમાં રહે છે. વિસ્થાપિતોમાંથી 47.2% લોકોએ અમેરિકા, 29.3%એ યુરોપ અને 23%એ વસવાટ માટે બીજો કોઈ દેશ પસંદ કર્યો છે. જે દેશ ક્યારેક 'પર્શિયા' તરીકે પોતાની સંસ્કૃતિ માટે જાણીતો હતો, તે આજે ધાર્મિક જડતા અને આર્થિક કંગાળિયતનો પર્યાય બની ગયો છે. પહેલા જેની વાત કરીએ છીએ તે ઈરાન વિશે જાણીએ એક ગુજરાતી તરીકે આપણે હંમેશા ધંધો પહેલા જોઈએ છીએ. ઈરાનની હાલત અત્યારે એવી છે કે ત્યાં જવું એટલે પાયમાલ થવું. ઈરાની સરકાર અને ખોમૈની કહે છે કે આ બધું અમેરિકા અને ઈઝરાયલનું ષડયંત્ર છે. શું તેમાં તથ્ય છે? હા, રશિયા અને ચીન પણ ઈરાનના પક્ષમાં છે. ઈરાની સરકારના પાંચ મોટા સમર્થકો અને તેમણે ઈરાન મામલે શું કહ્યું તેની વાત કરીએ તો... પણ સવાલ એ છે કે, જો જનતા સુખી હોત, તો શું વિદેશી તાકાતો તેમને ઉશ્કેરી શકત? જવાબ છે- ના. ભૂખ અને મોંઘવારી એ સૌથી મોટા બળવાખોર છે. હવે વાત કરીએ જગત જમાદાર ટ્રમ્પની... ટ્રમ્પે જાહેરાત કરી છે કે જે દેશ ઈરાન સાથે વેપાર કરશે તેના પર 25% એડિશનલ ટેરિફ ઝીંકવામાં આવશે. ઈરાન સાથે વેપાર કરતા દેશ ગુજરાતને શું લાગે વળગે? તો... ગુજરાતી વેપારીઓએ ડરવાની જરૂર છે? ટુંકો અને સચોટ જવાબ છે, ના. ભારત અને ઈરાનનો વેપાર વર્ષે માત્ર 1.7 બિલિયન ડોલર છે. જે એક રીતે સાવ નહિંવત કહેવાય. કારણ કે ભારત માટે ઈરાન ટોપ 50 ટ્રેડિંગ પાર્ટનરની યાદીમાં પણ નથી. આપણે ત્યાં દવાઓ, ચા, ફળ અને ચોખા મોકલીએ છીએ. એટલે જો ટ્રમ્પ ટેરિફ લગાવે તો પણ સુરતના હીરા ઉદ્યોગ કે મોરબીના સિરામિકને મોટી અસર નહીં થાય. પણ હા, જો ઓઈલના ભાવ વધે, તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ શકે છે. સરવાળે ભારત પર ટ્રમ્પના ઈરાન એક્સ્ટ્રા ટેરિફની જરા પણ અસર નહીં થાય. જો કે આ ટ્રમ્પની પોતાની જાહેરાત છે, વ્હાઈટ હાઉસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર કાગળ કે ઓર્ડર બહાર પાડવામાં નથી આવ્યો. ઇરાન મામલે ભારતનું સ્ટેન્ડ ભારત અત્યારે પોતાની વિદેશ નીતિ મુજબ ઈરાન મામલે તટસ્થ છે અને વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. ભારતનું કહેવું છે પ્રદર્શનો ઈરાનનો આંતરિક ઘરેલું મામલો છે. આપણા માટે સૌથી મોટી ચિંતા ત્યાં રહેલા 10,765 ભારતીયોની સુરક્ષા છે. વિદેશ મંત્રાલયે પણ પ્રદર્શનો બાદ ભારતીયો માટે એડવાઈઝરી બહાર પાડી છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ પર આપણી નજર હોવી જોઈએ. અને છેલ્લે... સાંઈ બાબા કહેતા હતા સબકા માલિક એક પણ હાલની ઈરાનની પરિસ્થિતિ કહે છે કે સબકા માલિક પેટ. ઈરાનની જનતા અત્યારે પોતાના પેટ માટે પોતાની ધાર્મિક સરકાર સામે બાંયો ચઢાવીને સામે થઈ છે. અહીં ઈરાન માટે એકવાત સ્પષ્ટ છે... જ્યારે લોકોની થાળીમાંથી રોટલી છીનવાય ત્યારે મોંઘવારી આસમાને પહોંચે છે અને સિંહાસન ડોલવા લાગે છે... સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
ગોધરામાં ભારતીય સિંધુ સભા દ્વારા શહીદ હેમુ કાલાણીના 82મા શહીદી દિન નિમિત્તે મહા રક્તદાન શિબિર અને નિ:શુલ્ક થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ સેવા પ્રવૃત્તિ 18મી જાન્યુઆરીએ યોજાશે. આ કાર્યક્રમ સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ હોલ ખાતે યોજાશે. રક્તદાન સવારે 9:00 કલાકથી શરૂ થશે, જ્યારે થેલેસેમિયાની તપાસ સવારે 11:00 વાગ્યાથી શરૂ થશે. આઝાદીના અમર શહીદ હેમુ કાલાણીની સ્મૃતિમાં દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાય છે. ભારતીય સિંધુ સભા, ગોધરા દ્વારા પણ તેમની શહીદીને યાદ કરીને આ સેવાકાર્યનું આયોજન કરાયું છે. હેમુ કાલાણીનો જન્મ 23 માર્ચ, 1923ના રોજ અખંડ ભારતના સિંધ પ્રાંતમાં થયો હતો. તેમણે 19 વર્ષની નાની વયે અંગ્રેજો સામેની લડાઈમાં હથિયારો ભરેલી રેલગાડીને ઉથલાવવાની યોજના બનાવી હતી. આ પ્રયાસમાં તેઓ પકડાઈ ગયા હતા, પરંતુ તેમણે પોતાના સાથીદારોના નામ આપવાનો ઇનકાર કર્યો હતો. અંગ્રેજ શાસકો દ્વારા તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. 21 જાન્યુઆરી, 1943ના રોજ, 'ઇન્કલાબ ઝિંદાબાદ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવતા તેઓ ફાંસીના માંચડે ચઢી શહીદ થયા હતા. ભારતીય સિંધુ સભાના પ્રદેશ, જિલ્લા અને નગરના આગેવાનો તેમજ સિંધી સમાજ દ્વારા તમામ નવયુવાનો અને યુવતીઓને આ શહીદને શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કરીને આ સેવાકાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
કારમાંથી 4.71 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:અરવલ્લી LCBએ 15 કિમી પીછો કરી 1450 બોટલ પકડી
અરવલ્લી LCB પોલીસે મોડાસા નજીકથી ફિલ્મી ઢબે પીછો કરીને 4.71 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક કારમાંથી 1450 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ઘટના મેઘરજના વાઘમહુડી ગામ નજીક બની હતી. વલુણા તરફથી આવી રહેલી એક સેલ્ટોસ કાર LCB પોલીસને શંકાસ્પદ લાગી હતી. પોલીસે કારને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે ઝડપ વધારી દીધી હતી. ત્યારબાદ LCB પોલીસે 15 કિલોમીટર સુધી કારનો પીછો કર્યો હતો. શીણાવાડ ગામની સીમમાં મુલોજ પાટિયા પાસે બુટલેગરની ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી. અંધારાનો લાભ લઈને ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1450 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ 14.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોડાસા રૂરલ પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ઇન્વિન્સિબલ NGOની સાયકલ યાત્રા જામનગર પહોંચી:ડ્રગ્સ વિરોધી જાગૃતિ માટે SOG પોલીસે સ્વાગત કર્યું
ઇન્વિન્સિબલ NGO દ્વારા આયોજિત ડ્રગ્સ વિરોધી સાયકલ યાત્રા આજે જામનગર પહોંચી હતી. કુલ 16 સાયકલ સવારોની આ ટીમ શહેરના લાખોટા તળાવની પાળ ખાતે આવી હતી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર ખાતે પહોંચતા જ જિલ્લા પોલીસ અને SOG પોલીસે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. લાખોટા તળાવની પાળ ખાતે સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત લોકોને ડ્રગ્સના દુષ્પરિણામો વિશે માહિતગાર કરી જાગૃત કર્યા હતા. આ ડ્રગ્સ વિરોધી સાયકલ યાત્રાનો પ્રારંભ નારાયણ સરોવર સ્થિત કોટેશ્વર મહાદેવ મંદિરથી થયો હતો. આ યાત્રા 11 દિવસમાં 1400 કિલોમીટરનું અંતર કાપશે. યાત્રામાં કુલ 14 મુખ્ય સાયકલ સવારો અને 2 બેકઅપ સભ્યો જોડાયા છે. જેમાં 19 વર્ષની આસ્થા ભટ્ટ અને પ્રિયા રાજા, 58 વર્ષના ચેતના શાહૂ સહિત 13 પુરુષ સભ્યોનો સમાવેશ થાય છે.
પાટણ જિલ્લામાં કરુણા અભિયાન-2026 અંતર્ગત 10 થી 15 જાન્યુઆરી દરમિયાન કુલ 105 ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આમાંથી 76 પક્ષીઓ જીવિત હાલતમાં છે, જ્યારે 29 પક્ષીઓના મૃત્યુ થયા છે. વધુ ગંભીર ઈજા ધરાવતા 27 પક્ષીઓને અમદાવાદના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અભિયાનને સફળ બનાવવા માટે વન વિભાગના 105, પશુપાલન વિભાગના 18 અને એન.જી.ઓ.ના 112 મળી કુલ 235 કર્મચારીઓની ટીમ કાર્યરત કરવામાં આવી હતી. જિલ્લાભરમાં પક્ષીઓની સારવાર અને સેવા માટે 1 કન્ટ્રોલ રૂમ, 11 કલેક્શન સેન્ટર અને 15 સારવાર કેન્દ્રો સહિત કુલ 27 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા. અભિયાન દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે વન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર 1926 અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ માટે 1962 કાર્યરત કરવામાં આવ્યા હતા. નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવવા માટે વોટ્સએપ નંબર 8320002000 પર મેસેજ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ હતી. વન વિભાગના કન્ટ્રોલ રૂમનો નંબર 02766-225850 જાહેર કરાયો હતો. વીજ લાઇન સંબંધિત ફરિયાદો માટે 19121 અથવા 1800 233 155335 પર સંપર્ક કરી શકાય છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ દ્વારા પેમ્ફલેટ વિતરણ કરીને જનતાને અપીલ પણ કરવામાં આવી હતી.
ભરૂચમાં ઉત્તરાયણ દરમિયાન 160 પક્ષીઓનું રેસ્ક્યૂ:કરૂણા અભિયાન હેઠળ 97 પક્ષીઓને નવજીવન મળ્યું
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કરૂણા અભિયાન-2026 હેઠળ 160 ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વન વિભાગ, પશુપાલન વિભાગ અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા 10 થી 14 જાન્યુઆરી, 2026 દરમિયાન આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનના પરિણામે 97 પક્ષીઓને સમયસર સારવાર મળતા નવજીવન પ્રાપ્ત થયું હતું. જોકે, દુર્ભાગ્યવશ 29 પક્ષીઓ સારવાર દરમિયાન અથવા તે પહેલા મૃત્યુ પામ્યા હતા. પક્ષીઓને દોરી અને માનવીય બેદરકારીના કારણે ઈજાઓ થઈ હતી. ભરૂચ વન વિભાગના અધિકારીઓ દ્વારા ભરૂચ, અંકલેશ્વર, વાગરા અને ક્ષેત્રિયપેટા સહિતના વિવિધ વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વ દરમિયાન વન વિભાગ, પશુપાલન વિભાગ, કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સહયોગી સંસ્થાઓ અને સ્વયંસેવકોએ સતત કાર્યરત રહીને અનેક અબોલ પક્ષીઓના જીવ બચાવવામાં મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે કરૂણા અભિયાન એ રાજ્ય સરકારની એક માનવીય પહેલ છે. છેલ્લા નવ વર્ષમાં આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 1.12 લાખથી વધુ અબોલ પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જે ગુજરાતના આ અભિયાનને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બનાવે છે.
ગોધરામાં 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી મોત:ચંચોપા ગામે ઘર પાસે રમતા જીયાનનું કરુણ અવસાન
ગોધરા તાલુકાના ચંચોપા ગામે એક દુર્ઘટનામાં ત્રણ વર્ષના બાળકનું પાણી ભરેલી કુંડીમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાથી પરિવાર અને ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ચંચોપા ગામના નરેશભાઈનો ત્રણ વર્ષનો પુત્ર જીયાન પોતાના ઘર નજીક રમી રહ્યો હતો. રમતા રમતા તે અચાનક ઘર પાસે આવેલી પાણી ભરેલી કુંડીમાં પડી ગયો હતો. પરિવારના સભ્યોનું ધ્યાન જતાં જીયાનને તાત્કાલિક કુંડીમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘર આંગણે રમતા બાળકના અકાળે અવસાનથી ચંચોપા ગામમાં શોકનો માહોલ છે. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પોતાના વિસ્તારમાં થયેલા વિકાસ કામોની તપાસ કરવાની માગ કરી હતી. ધારાસભ્યએ કરેલી રજૂઆત બાદ જૂનાગઢ તાલુકા પંચાયતના ભાજપના સદસ્યએ પણ સાત મહિના જૂના કથિત ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જૂનાગઢના ચોકી ગામમાં મંજૂર થયેલું LED લાઈટનું કામ પૂર્ણ થાય તે પહેલા જ તાલુકા પંચાયત દ્વારા બિલની ચૂકવણી કરી દેવામાં આવી હતી. પરંતુ, જે તે સમયે રજૂઆત કરાતા ચાર મહિના પછી લાઈટ ફીટ કરી સમગ્ર મામલે પડદો પાડવાનો પ્રયાસ કરાયો હતો. હવે તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણ સોલંકીએ આ મામલે પુરાવા સાથે CMને રજૂઆત કરી TDO સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે, આ મામલાની તપાસ માટે ક્લાસ વન અધિકારીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવશે. ધારાસભ્યના પત્ર બાદ તા.પં.સભ્યના TDO સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ થોડા સમય પૂર્વે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ તેમના મતવિસ્તારમાં થયેલા વિકાસ કામોની ગુણવત્તા અને નીતિ-નિયમો અંગે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી હતી. જેને પગલે દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જૂનાગઢ તાલુકાના પાંચ ગામોમાં બ્લોક, ગટર, પાણીના બોર અને રોડ-રસ્તાના કામોમાં વ્યાપક ગેરરીતિ સામે આવી હતી. નવાઈની વાત તો એ છે કે જે કામો સ્થળ પર થયા જ નથી, તેના બિલો પણ સરકારી ચોપડે ઉધારી દેવામાં આવ્યા છે. આ તપાસ જે અધિકારીને સોંપાઈ છે, તેમના પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો છે. ભાજપ સભ્ય પ્રવીણ સોલંકીના ગંભીર આક્ષેપોજૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય અને ચોકી ગામ બૂથ-2 ના પ્રમુખ પ્રવીણ સોલંકીએ TDO રાજેન્દ્ર ઠાકોર પર પુરાવા સાથે પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, ચોકી ગામે એલઇડી લાઈટ ના કામ માટે 28 જાન્યુઆરી 2025ના રોજ 1 લાખથી વધુનું બિલ એજન્સીને ચૂકવી દેવાયું હતું. હકીકતમાં તે સમયે કોઈ જ લાઈટ લાગી નહોતી. જ્યારે આ મામલે ફરિયાદ થઈ ત્યારે 5 મહિના બાદ મે મહિનામાં કામ પૂર્ણ થયું હોવાનું લખાણ અપાયું હતું. ભ્રષ્ટાચાર છુપાવવા માટે તલાટી મંત્રી અને અધિકારીઓએ કાગળ પર અનેક ચેકચાક અને ફેરફારો કર્યા છે. ધારાસભ્યની રજૂઆત બાદ TDO રાજેન્દ્ર ઠાકોર હાલ લાંબી રજા પર ઉતરી ગયા છે. સરપંચ યુનિયનનો આક્રોશ: 'ફાઈલો ક્લિયર કરાવવા ટકાવારી આપવી પડે છે.મેવાસા ગામના સરપંચ અને જૂનાગઢ તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ રાજેશભાઈ લુણાગરિયાએ તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. તાલુકા પંચાયતમાં એક પણ કચેરી એવી નથી જ્યાં લાંચ વગર કામ થતું હોય. 1 લાખના કામના બિલ પાસ કરાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને 30 હજાર રૂપિયા સુધીની ટકાવારી (કમિશન) આપવી પડે છે. માટી-મોરમના કામોમાં તો સીધી 20% ની માંગણી કરવામાં આવે છે. TDO નું પ્રમોશન રોકવા અને સસ્પેન્ડ કરવા માંગસરપંચો અને ભાજપના સભ્યોનો આરોપ છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે સરકાર અને પક્ષ બદનામ થઈ રહ્યા છે. ગંભીર ભ્રષ્ટાચાર આચરનાર TDO રાજેન્દ્ર ઠાકોરને પ્રમોશન આપવાની હિલચાલ ચાલી રહી છે, જેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓનું પ્રમોશન તાત્કાલિક રોકવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની વિરુદ્ધ કાયદેસરની ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે. સરપંચ યુનિયનના પ્રમુખે ચેતવણી આપી છે કે જો આ જ પ્રકારે ભ્રષ્ટાચાર ચાલુ રહેશે અને અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય, તો આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભાજપના જ કેટલાક હોદ્દેદારો પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો સુર પણ ઉઠ્યો છે. આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર શું પગલાં લે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. આ મામલાની તપાસ માટે સમિતિની રચના કરાશેઃ DDOઆ સમગ્ર મામલે જૂનાગઢની જે જિલ્લા વિકાસ અધિકારી એચ. પી પટેલે જણાવ્યું હતું કે આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવશે અને ક્લાસ વન અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કરશુ અને તમામ કાયદેસરની કાર્યવાહી કરાશે. આ સમાચાર પણ વાંચોઃભાજપના MLAએ પોતાના જ વિસ્તારમાં થયેલાં નબળાં કામની તપાસ માગી ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્યસ્તરે લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ, જૂનાગઢ તાલુકામાં આ ગ્રાન્ટનો ઉપયોગ લોકોની સુવિધા માટે નહીં પણ અધિકારીઓ અને કોન્ટ્રેક્ટરોના ખિસ્સા ભરવા માટે થતો હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. જૂનાગઢ-86 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સંજય કોરડિયાએ જ્યારે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ગંભીર તપાસની માંગ કરી, ત્યારે તંત્રમાં ફફડાટ મચી ગયો છે. ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વાસ્તવિકતા તપાસી, ત્યારે ભ્રષ્ટાચારના એવા એવા નમૂનાઓ જોવા મળ્યા કે જે જોઈને ભલભલાની આંખો ફાટી જાય. (સંપૂર્ણ સમાચાર વાંચો)
રાજકોટ નજીક ન્યારા ગામમાં રહેતા અને રિક્ષાચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સંજયભાઈ ખેતરીયાનો 17 વર્ષીય પુત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કોઈ અજાણી છોકરી સાથે વાત કરતો હતો તે બાબતનો ખાર રાખી આરોપીઓએ તેને ગત તા.07.01.2026ના બપોરે મોરબી બાયપાસ રોડ પર માધવ હોટલ પાસે બોલાવ્યો હતો. માધવ હોટલ પાસે ચાર મોટરસાયકલ પર આવેલા 10 શખસોએ સગીરનો મોબાઈલ પડાવી લઈ તેમાં ફોટા જોઈ બોલાચાલી કરી હતી ત્યારબાદ આરોપીઓએ તેને ઢીકાપાટુનો મારમારી બળજબરીથી મોટરસાયકલ પર બેસાડી તેનું અપહરણ કરી તેને એઈમ્સ હોસ્પિટલ રોડ અને ત્યાંથી જામનગર રોડ પર લઈ ગયા હતા ત્યાં એક શખસે છરી બતાવી પૈસાની માંગણી કરી હતી પરંતુ તેની પાસે પૈસા ન હોવાથી તેનો સેમસંગ કંપનીનો મોબાઈલ બળજબરીથી પડાવી લીધો હતો. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ સગીરને તેના ઘર પાસે મુકી ગયા હતા અને ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને વાત કરીશ તો તને જાનથી મારી નાખશું. સગીરે ઘરે આવી ઘટનાની જાણ કરતાં તેને ઈજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ગાંધીગ્રામ પોલીસે તપાસ કર્યા બાદ આ મામલે સંજયભાઈની ફરિયાદ પરથી વિવેક અગ્રાવત, રોહિત, વરૂણ વાલ્મીકી, હિતેશ વાલ્મીકી, મનીષ વાલ્મીકી, આયુષ વાલ્મીકી, શુભમ સોલંકી અન. ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોટન ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ઉદ્યોગપપતિ દિનેશભાઇ ધીરજલાલ સેલાણીના પુત્ર ગૌરવભાઇ દિનેશભાઇ સેલાણી (ઉં.વ.33) ગત તા.10.01.2026ના રોજ પોતાના તરઘડી સ્થિત કારખાને હતા ત્યારે ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો જેની જાણ થતા ગૌરવભાઇને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અહીં 4 દિવસ લાંબી સારવાર બાદ આજે તેમણે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે પડધરી પોલીસને જાણ કરવામાં આવતા પડધરી પોલીસ સ્ટાફે રાજકોટ આવી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વંશ સુરેશભાઈ ઝાલા (ઉં.વ.21) ગઈકાલે બપોરે 3 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઈ લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. મૃતકના માતા રંજનબેન એઇમ્સમાં નોકરી કરે છે. પિતા ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. વંશ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. કોલેજમાં અભ્યાસ કરતો હતો સાથે કોમ્પ્યુટરને લગતું કામકાજ પણ કરતો હતો. જો કે યુવકે આપઘાત ક્યાં કારણોસર કર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વિનોદ લીંબાભાઈ વાછકિયા (ઉં.વ.27) ગઈકાલે સાંજે 6 વાગ્યાં આસપાસ પોતાના ઘરે અગાસી પર ઘરના અન્ય સભ્યો અને પત્ની, સંતાનો સાથે પતંગ ઉડાવી રહ્યો હતો. દરમ્યાન અગાસી પરથી ઉતરતી વખતે સીડીનું પગથિયું ચૂકાઈ જતા પહેલા માળ જેટલી ઊંચાઈ પરથી જમીન પર પટકાયો હતો. જેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીં તેની સારવાર ઇમરજન્સી વિભાગમાં ચાલુ હતી દરમ્યાન મોડી રાત્રે 12.30 વાગ્યાં આસપાસ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી અને મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વિનોદ મજૂરી કામ કરતો હતો તેના પિતા પણ મજૂરી કામ કરે છે. વિનોદ 2 ભાઇ અને 1 બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ભરતભાઈ પ્રેમજીભાઈ પારીયા (ઉં.વ.45)એ જણાવ્યું કે, હું રાજકોટની ઝનાના હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરું છું. મારે સંતાનમાં બે દીકરા હતા. જેમાં મોટો દીકરો દિવ્યેશ (ઉ.વ.10) હતો તથા નાનો દીકરો જાવીન 7 વર્ષનો છે. ગઈકાલે તા.14.01.2026ના રોજ સાંજના 5 વાગ્યા આસપાસ હું તથા મારો દીકરો દિવ્યેશ બંને પિતૃકૃપા સોસાયટીના સામે રોડની સામેની સાઈડ આવેલ દુકાને મારા દીકરા માટે ભાગ લેવા માટે ગયા હતા. બાદમાં દુકાનેથી ભાગ લઈને હું દુકાન પાસે ઉભો હતો અને મારો દીકરો દિવ્યેશ રોડ ક્રોસ કરતો હતો ત્યારે રાજકોટ મોરબી હાઇવે પર રાજકોટ તરફથી આવતી એક ફોર વ્હીલ ગાડીએ મારા દીકરા દિવ્યેશને હડફેટે લીધો હતો. જેથી મારો દીકરો ફંગોળાઇને રોડની વચ્ચે પડ્યો હતો જેમાં ગંભીર ઇજાઓ થઇ હતી. બેભાન થઈ જતા 108ને ફોન કરતા મારા દીકરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અકસ્માતનો બનાવ બન્યા બાદ ફોર વ્હિલ ગાડીનો ચાલક પોતાની કાર સ્થળ પર જ મૂકીને ભાગી ગયો હતો. હાલ કુવાડવા પોલીસે જીજે.10.ડીએન.0473 નંબરના ચાલક સામે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.
ગુજરાતમાં મકરસંક્રાંતિના તહેવારે રંગબેરંગી પતંગોની ઉડાન અને 'કાઈપો છે'ની બૂમો વચ્ચે પતંગની દોરીએ અનેક પરિવારોને રડાવ્યા. છેલ્લા 48 કલાકમાં પતંગની દોરીએ 8 લોકોની જિંદગીની દોર કાપી નાખતા તહેવારના આનંદમાં કાળો પડછાયો પડ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત આખા રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઈમરજન્સી કેસના આંકડામાં 1 હજાર ટકાનો વધારો નોંધાયો હતો. આ આંકડાઓ ઉત્તરાયણના ઉત્સાહ સાથે જોડાયેલી જીવલેણ જોખમની કડવી હકીકતને ઉજાગર કરે છે. જો છેલ્લા 48 કલાક દરમિયાન ઉત્તરાયણ સંબંધિત અકસ્માતો અને ઈજાઓના કુલ 116 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમાંથી સ્ટ્રિંગ ઇજાઓ (પતંગની દોરીથી)ના કુલ 235 કેસ નોંધાયા હતા. ધાબેથી નીચે પડવાના 24 કેસ નોંધાયા હતા તો રોડ એક્સિડન્ટના 50 જેટલા કેસ નોંધાયા હતા. ઇમર્જન્સી કેસોમાં અમદાવાદ મોખરે રહ્યુંતહેવાર દરમિયાન વિવાદો વધતા મારામારીના કેસોમાં 284.10% નો વધારો થયો. ધાબા પરથી પતંગ ચગાવતા પડી જવાના કેસોમાં 92.33%નો વધારો નોંધાયો છે. વાહનવ્યવહારમાં વધારો અને રસ્તા પર પતંગના કારણે થતા ધ્યાનભંગને લીધે વ્હીક્યુલર ટ્રોમા કેસોમાં 118.71% નો વધારો થયો છે. ઇમર્જન્સી કેસોમાં અમદાવાદ (1,176 કેસ) મોખરે રહ્યું, ત્યારબાદ સુરત અને રાજકોટમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા. 108 સેવા પર કોલનો ભારે ધસારો 14 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યભરમાં 108-EMS દ્વારા કુલ 5,897 મેડિકલ કેસો હેન્ડલ કરવામાં આવ્યા, જે સામાન્ય દિવસોની તુલનામાં 33%નો વધારો દર્શાવે છે. ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) પતંગની પ્રવૃત્તિઓ અને ધાબા પરની ભીડને કારણે આ કેસોમાં 171% નો જંગી વધારો થયો છે. પતંગના દોરાને કારણે થતી ઇજાઓમાં 1,018.85% નો આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો 1962 કરુણા એમ્બ્યુલન્સની કામગીરી ઉત્તરાયણ દરમિયાન અબોલ જીવોની સારવાર માટે 1962 સેવાની ટીમો સતત કાર્યરત રહી હતી. 14 જાન્યુઆરીએ કુલ 1,205 ઇમર્જન્સી કેસો ઉકેલવામાં આવ્યા, જે સામાન્ય દિવસો કરતા 16.36% વધુ છે. પતંગના દોરાના કારણે પક્ષીઓના ઇમર્જન્સી કેસોમાં 1,668.68%નો નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાહતની વાત એ છે કે, પશુ સંબંધિત ઇમર્જન્સી કેસોમાં 24.79% નો ઘટાડો જોવા મળ્યો છે, જે જાહેર જાગૃતિનું પરિણામ છે. અમદાવાદ (84.69% વધારો), અરવલ્લી, સુરત અને જામનગરમાં પક્ષીઓને ઈજા થવાના સૌથી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. ઘટના-1 પતંગ દોરી વચ્ચે આવતાં પરિવાર 70 ફૂટ ઊંચા બ્રિજથી પટકાયો14 જાન્યુઆરીને ઉત્તરાયણના પર્વએ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક જ પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતાં બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે બાઇક પર સવાર આખો પરિવાર પૂલથી 70 ફૂટ નીચે ખાબક્યો હતો. આ ઘટનામાં 35 વર્ષીય પિતા રેહાન, તેની પત્ની રેહાના અને 7 વર્ષની પુત્રી આયેશાના મોત થયા હતા. જેમાંથી પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે રિક્ષા પર પડેલી માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી, જેમાં તેણીએ ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યના મોતને પગલે વિસ્તારમાં શોક છવાયો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘટના-2 ખંભાતમાં બાઈક પર જતાં 8 વર્ષીય બાળકનું ગળું ચીરાયુંખંભાતના બદલપુર સેવરાપુરાના 8 વર્ષીય ધવલ કિશનભાઈ પરમાર પોતાના પિતા સાથે બાઈક પર બદલપુરથી રાલેજ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં આવી જતાં તેમની મુખ્ય નસ કપાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ ધવલને તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેને કરમસદની કૃષ્ણ હોસ્પિટલ રીફર કરાયા, પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘટના-3 વડોદરામાં પતંગ પકડવા જતાં બેનાં મોતવડોદરા શહેર અને જિલ્લામાં પતંગ પકડવાની લાહ્યમાં બે લોકોનાં મોતના બનાવ સામે આવ્યા છે. વાઘોડિયા રોડ પર કપાયેલા પતંગની દોરી પકડવા જતાં 33 વર્ષીય યુવકનું વીજશોક લાગતાં મોત નીપજ્યું હતું. તો કરજણ વિસ્તારમાં પતંગ પકડવા જતા 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. બન્ને પરિવાર માટે ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો ગયો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘટના-4 અરવલ્લીના બાયડમાં મોપેડસવારનું મોતબાયડ તાલુકાના ચોઈલા ગામે મોપેડ પર પસાર થઈ રહેલા તીર્થ પટેલ નામના યુવકનું ગળામાં દોરી આવી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચોઈલા ગામનો તીર્થ પટેલ પોતાના મોપેડ પર જૂના બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની જીવલેણ ચાઈનીઝ દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી તીક્ષ્ણ હતી કે યુવકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું અને તે લોહીલુહાણ હાલતમાં મોપેડ પરથી નીચે પટકાયો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘટના-5 જંબુસરના પીલુદરામાં બાઈકસવારનું મોતજંબુસર તાલુકાના પીલુદરા ગામે પતંગની દોરી વાગવાથી એક યુવકનું કરુણ મોત થયું છે. આ ઘટના ગઈકાલે બપોરે આશરે 1.30 વાગ્યાના સુમારે બની હતી. મૃતક યુવકની ઓળખ રાહુલભાઈ કનુભાઈ પરમાર તરીકે થઈ છે. તેઓ પીલુદરા ગામના તીથોરા ખડકી વિસ્તારના રહેવાસી હતા. રાહુલભાઈ બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમના ગળામાં પતંગની દોરી વાગી હતી. દોરી વાગવાથી તેમનું ગળું કપાઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. યુવકને સારવાર માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. (વાંચો સંપૂર્ણ અહેવાલ)
આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો અને યુવાનો સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે, ત્યારે તેમને મેદાનની રમતો તરફ વાળવા અને વિસરાયેલી પરંપરાગત રમતોને પુનઃજીવિત કરવાના ઉમદા હેતુથી રાજકોટમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ (ચિત્રનગરી) દ્વારા સંયુક્ત રીતે આગામી રવિવાર, તા. 18/01/2026 ના રોજ રેસકોર્સ ખાતે ‘હેપ્પી સ્ટ્રીટ (ફન સ્ટ્રીટ)’ યોજાશે. આ કાર્યક્રમ સવારે 08:00 થી 10:00 કલાક દરમિયાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સામેના રોડ પર યોજાશે, જેમાં શહેરીજનો ઉત્સાહભેર ભાગ લઈ શકશે. આ ફન સ્ટ્રીટમાં મ્યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ, લીંબુ ચમચી, લખોટી અને ભમરડા જેવી પ્રાચીન શેરી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચેસ, કેરમ, સાપ સીડી, લુડો અને ડાન્સ-ગરબા જેવી રમતો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તણાવમુક્ત કરવા અને નવી પેઢીને આપણી સંસ્કૃતિની રમતોથી પરિચિત કરાવવાનો છે. કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે વિનામૂલ્યે છે, પરંતુ સુરક્ષાના કારણોસર પરિવાર સિવાય આવનાર વ્યક્તિએ પોતાનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે. RTO દ્વારા મોટર કારની GJ-03-PR સીરિઝના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું 22 જાન્યુઆરીથી ઈ-ઓક્શન રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર કારના માલિકો માટે GJ 03 PR સીરિઝ તથા અગાઉની સીરિઝના બાકી રહેતા ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે ઈ-ઓક્શનની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઈચ્છુક વાહન માલિકો 22/01/2026 ના રોજ સાંજે 04:00 કલાકથી 31/01/2026 ના રોજ સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. આ માટે અરજદારોએ પરિવહન વિભાગની વેબસાઇટ પર જઈ ફેન્સી નંબર બુકિંગમાં પબ્લિક યુઝર આઈડી બનાવી CNA ફોર્મ ભરવાનું રહેશે. પ્રક્રિયામાં વાહન ખરીદીના 7 દિવસમાં ફોર્મ ભરવું અનિવાર્ય છે. ઓનલાઇન બિડિંગ પ્રક્રિયા 31/01/2026 ના રોજ સાંજે 04:01 થી શરૂ થઈ 02/02/2026 ના રોજ સાંજે 04:00 કલાકે પૂર્ણ થશે. હરાજીનું પરિણામ 02/02/2026 ના રોજ સાંજે 04:15 કલાકે જાહેર કરવામાં આવશે. સફળ અરજદારે હરાજીની બાકી રકમ 5 દિવસમાં ભરી RTO કચેરીએથી નંબરનું એપ્રુવલ મેળવવાનું રહેશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણ પર્વે વીજ ધાંધિયા, 1326 ફરિયાદો નોંધાઈ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ઉત્તરાયણનું પર્વ ભારે ઉત્સાહભેર ઉજવાયું હતું, પરંતુ પતંગના દોરાના કારણે સર્જાયેલા વીજ વિક્ષેપે પતંગ પ્રેમીઓની મોજ બગાડી હતી. પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પતંગની દોરી લાઈન પર પડવાને કારણે કે જમ્પર ઉડવા જેવા વિવિધ ફોલ્ટના લીધે સમગ્ર પંથકમાં વીજળી ગુલ થવાની કુલ 1326 ફરિયાદો નોંધાઈ હતી. આ ઉપરાંત સલામતી જોખમાય તે પ્રકારના 60 જેટલા ગંભીર કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. એકલા રાજકોટ શહેરમાં જ સૌથી વધુ 461 ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે સેફ્ટી રિલેટેડ 14 ફરિયાદો નોંધાઈ હતી. ખાસ કરીને જૂના રાજકોટના લક્ષ્મીવાડી, ગુંદાવાડી, ભક્તિનગર અને કેનાલ રોડ જેવા વિસ્તારોમાં વારંવાર વીજ કાપ આવતા લોકો ડીજે અને સંગીતની મજા માણી શક્યા ન હતા. અન્ય શહેરોની સ્થિતિ જોઈએ તો જામનગરમાં 230, મોરબીમાં 215, અમરેલીમાં 135 અને રાજકોટ ગ્રામ્યમાં 142 ફરિયાદો વીજ કંપનીના ચોપડે નોંધાઈ હતી. ભાવનગરમાં 72, જૂનાગઢમાં 32 અને પોરબંદરમાં 7 ફરિયાદો આવી હતી. પતંગના દોરાને કારણે વાયરો ભેગા થઈ જવાથી શોર્ટ સર્કિટના બનાવો પણ બન્યા હતા. મોરબીમાં 12 અને જામનગરમાં 20 સેફ્ટી રિલેટેડ ફરિયાદો નોંધાઈ હતી. આમ, સારા પવનને કારણે પતંગબાજી તો જામી હતી, પરંતુ વારંવાર સર્જાયેલા વીજ વિક્ષેપને કારણે પતંગ રસિયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા સરકારી આવાસમાં પાડોશમાં રહેતા 22 વર્ષીય યુવકે 6 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાળકીના ગુપ્તાંગના ભાગે યુવકે સ્પર્શ કરતા બાળકીએ રડતા રડતા તેની માતાને સમગ્ર વાત જણાવી હતી. જેથી કપુરાઇ પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના સોમા તળાવ પાસ સરકારી મકાનમાં રહેતા 22 વર્ષીય યુવક સુનિલ રાઠવા એ ઉત્તરાયણના દિવસે 6 વર્ષીય સગીરા દીકરી સાથે અશ્લીલ હરકતો કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસના પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના ગઈકાલે બપોરના 12થી 2 વાગ્યાની વચ્ચે મકાનના ટેરેસ પર બની હતી. સગીરા દીકરીએ ઘટનાની આખી વાત પોતાની માતાને જણાવી દીધી હતી, જે બાદ માતાએ તાત્કાલિક કપુરાઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સુનિલ રાઠવાની ધરપકડ કરી લીધી છે. પીડિત બાળકીની માતાએ જણાવ્યું હતું કે, ઉતરાયણ પર્વને લઈને ટેરેસ પર ગયા હતા, થોડી વારમાં દીકરી રડતી રડતી આવી છે. મેં પૂછ્યું, બેટા, શું થયું? ત્યારે તેણે મને કહ્યું કે બાજુના બ્લોકમાં રહેતા સુનીલભાઈએ તેના ગુપ્તાંગના ભાગે હાથ ફેરવ્યો હતો. સુનિલ અમારા બાજુના બ્લોકમાં જ રહે છે. આજે ઉત્તરાયણ હોવાથી બધા જ લોકો ધાબા પર હતા. ત્યારે આ ઘટના બની હતી. અમે ઈચ્છીએ છીએ કે તે વ્યક્તિને કડકમાં કડક સજા મળે. પોલીસે અમને ખાતરી આપી છે કે તેને સજા કરવામાં આવશે. સામાજિક કાર્યકર મહિલાએ જણાવ્યું હતું કે, આ એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના છે. હજુ થોડા દિવસ પહેલા જ વડોદરામાં 15 વર્ષની દીકરી પર ગેંગરેપની ઘટના બની હતી, જેની શાહી હજી સુકાઈ નથી ત્યાં ઉત્તરાયણના તહેવારના દિવસે 6 વર્ષની માસૂમ બાળકી પર એક હવસખોરે નજર બગાડી છે. સરકાર અને પોલીસે આવી ઘટનામાં કડક કાર્યવાહી કરવી જોઈએ. દારૂ, ડ્રગ્સની પ્રવુતિ વડોદરામાં ધમધમી રહી છે, તેને બંધ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે. દોષિતોને એવી સજા મળવી જોઈએ જે સમાજ માટે ઉદાહરણ બને. ACP E ડિવિઝન જી ડી પલસાણાએ જણાવ્યું હતું કે, સરકારી આવાસમાં એક ઈસમે ફરિયાદીની સગીર વયની દીકરીની છેડતી કરી હતી. આ બાબતે BNS એક્ટ તથા POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હાલ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અમે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.
ડાયમંડ સિટી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં હવે સામાજિક કુરિવાજો દૂર કરવા અને આધુનિક સમય મુજબ નવા નિયમો લાગુ કરવા માટે 'સામાજિક બંધારણ'નો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. તાજેતરમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીના ભૂમિ પૂજન પ્રસંગે સમાજના અગ્રણીઓએ આ બાબતે ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ 'પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ'ના મુદ્દા વિશે પણ જણાવ્યું હતો. મોટા ખર્ચાઓ અટકાવવા અને સંસ્કારોના સિંચન પર ભારશ્રી ઉમિયા ધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને પીઢ પાટીદાર અગ્રણી જેરામભાઈ વાંસજાળીયાએ આ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ પ્રગતિ કરી છે, પરંતુ આ વિકાસને જાળવી રાખવા માટે સામાજિક બંધારણની અત્યંત જરૂરિયાત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લગ્ન પ્રસંગોમાં થતા મોટા અને બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા જોઈએ. દીકરા-દીકરીઓમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા નિયમો હોવા જોઈએ. સમાજમાં નવા પ્રશ્નો અને વિવાદો ન સર્જાય તે માટે લેખિત નિયમો (બંધારણ) હોવા જરૂરી છે. જેરામભાઈએ સ્પષ્ટતા કરી હતી કે આ બંધારણ કોઈ વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ આ માટે આખી એક સમિતિ અને કમિટી બનાવવામાં આવશે. આ કમિટી સમાજના વિવિધ પાસાઓ અને લોકોના વિચારોને ધ્યાને રાખીને આગળ વધશે. સર્વસંમતિ બાદ જ અમલીકરણ: ભગવાનદાસ સવસાણીસૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ, સુરતના પ્રમુખ ભગવાનદાસ સવસાણીએ પણ આ વિચારને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અગ્રણી મથુરભાઈ સવાણીએ અગાઉ પણ બંધારણ માટે આહ્વાન કર્યું છે. હાલમાં સમાજના અલગ-અલગ વર્ગોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. જો સમાજના તમામ લોકો સહમત થશે, તો જ આ બંધારણ ઘડવામાં આવશે અને તેનો કડક અમલ કરવામાં આવશે. શા માટે ઉઠી રહી છે બંધારણની માંગ?આર્થિક બોજ: મધ્યમ વર્ગના પરિવારો માટે સામાજિક દેખાડો આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. રીત-રિવાજમાં એકરૂપતા: લગ્ન, મરણ કે અન્ય પ્રસંગોમાં સમગ્ર સમાજમાં એક સમાન નીતિ-નિયમો હોય તો ગેરસમજ દૂર થાય. નવી પેઢીનું ઘડતર: બદલાતા સમય સાથે યુવા પેઢીને સમાજ સાથે જોડી રાખવા જૂના અને અપ્રસ્તુત રિવાજોમાં ફેરફાર જરૂરી છે. જેરામભાઈ વાંસજાળિયા (પૂર્વ પ્રમુખ સીદસર ઉમિયાધામ) એ જણાવ્યું હતું કે, સુરતની અંદર અત્યારે લગભગ 10 થી 11 હજાર પરિવાર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના થઈને વસે છે. એના માટે આ સમય પ્રમાણે વાડીની ખૂબ જ જરૂરિયાત હતી. એટલે બધા મિત્રોએ સંગઠિત થઈને, વડીલોએ જે આ જગ્યા લીધેલી હતી, એના ઉપર એક ભવ્ય સમાજ ભવનનું આયોજન થાય એવું બધાએ નક્કી કર્યું છે. આજે એ સમાજ ભવનનું ભૂમિપૂજન ચાલી રહ્યું છે. આજના આ કાર્યક્રમમાં સમાજના તમામ દાતાઓ, શ્રેષ્ઠીઓ અને આગેવાનો એકત્રિત થયા છે. આવા સમાજ ભવનથી સમાજનું એક મોટું સાધન બનશે અને તેના માધ્યમથી સમાજનું સંગઠન વધુ મજબૂત બનશે. પાટીદાર સમાજમાં 'બંધારણ' ઘડવાની વાત ચાલી રહી છે, તે અંગે જણાવ્યું હતું કે, તે ખૂબ જ જરૂરી છે. અત્યારના સમય પ્રમાણે પાટીદાર સમાજનો વિકાસ સારો થયો છે. આ વિકાસ જળવાઈ રહે તે માટે દીકરા-દીકરીઓમાં સંસ્કારોનું સિંચન થાય, ખોટા ખર્ચાઓ અટકે અને સમાજમાં કોઈ નવા પ્રશ્નો ઊભા ન થાય તે માટે આ ખૂબ જ જરૂરી છે. બંધારણ ઘડવા માટે આખી એક કમિટી બનશે અને એ કમિટી દરેક પાસાઓ પર વિચાર કરીને આગળ વધશે. 'પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ'ના મુદ્દા વિશે જણાવ્યું હતું કે, એના વિશે અત્યારે દરેક સમાજ વિચારી રહ્યો છે અને તે ઘણું જરૂરી પણ છે. દીકરા-દીકરીઓ નાની ઉંમરમાં ખોટા પગલાં ભરી લેતા હોય છે, જે યોગ્ય નથી હોતું. તેનાથી તેમની જિંદગી બગડે છે અને અંતે તેઓ દુઃખી થાય છે. એટલે આ અંગે કાયદો ઘડવાની તાતી જરૂર છે અને તે તમામ સમાજો માટે ઉપયોગી થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગ માટે વર્ગ-3ની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ના કુલ 336 પદો તથા રેખનકાર (ડ્રાફ્ટસમેન) વર્ગ-3ના 52 પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ઓનલાઇન અરજી કરી શકશે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે. રાજ્યમાં તકનીકી લાયકાત ધરાવતા યુવાનો માટે આ ભરતી એક મહત્વની તક માનવામાં આવી રહી છે. લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ અને અન્ય વિગતવાર માહિતી માટે ઉમેદવારોને ગૌણ સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ પર જાહેર થનારી સૂચના ધ્યાનપૂર્વક વાંચવાની અપીલ કરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચોઃગુજરાત પોલીસના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની ખાલી પડેલી 950 જગ્યા પર ભરતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીપ્રક્રિયા દ્વારા કુલ 950 જેટલી ટેક્નિકલ જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
પાટણ તાલુકાના સાગોડિયા ગામના પટેલ પરિવારો દ્વારા ગુરુવારે પાવાગઢ અને જાંબુઘોડા તીર્થ ખાતે પ્રથમ સામૂહિક ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન સામાજિક અને પારિવારિક એકતા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. આ ઉજાણીમાં સાગોડિયા, પાટણ, અમદાવાદ, વડોદરા, મહેસાણા અને સુરત ખાતે રહેતા પટેલ પરિવારો જોડાયા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક, સામાજિક અને પારિવારિક એકતાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે રહેતા સાગોડિયા પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ભોજન દાતા તરીકે જીતેન્દ્રભાઈ, ચિરાગભાઈ, ભાવેશભાઈ અને જીગરભાઈ પટેલે સેવા આપી હતી. પટેલ પરિવારો દ્વારા દર વર્ષે અલગ અલગ સ્થળે ઉજાણી કરવાનું નક્કી કરાયું છે. અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના સમયમાં સાંસ્કૃતિક અને સામાજિક એકતા અત્યંત જરૂરી છે.
વોશિંગ્ટન: હાલ સમગ્ર વિશ્વની નજર ઈરાન પર ટકેલી છે અને અટકળો લગાવાઈ રહી છે કે આગામી 24 કલાકમાં અમેરિકા તેહરાન પર હુમલો કરી શકે છે. પરંતુ બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્લાન બદલી નાખ્યો હોય તેમ જણાય છે. હવે ટ્રમ્પની નજર સાત સમંદર પાર નહીં, પરંતુ પોતાના જ પાડોશી દેશ મેક્સિકો પર છે. એક ચોંકાવનારા અહેવાલ અનુસાર, ટ્રમ્પની ટીમ મેક્સિકો પર દબાણ કરી રહી છે કે તેઓ અમેરિકન સેનાને પોતાની સરહદમાં પ્રવેશવા દે. આ પાછળનો હેતુ મેક્સિકોમાં સક્રિય 'ડ્રગ કાર્ટેલ'નો ખાતમો અને 'ફેન્ટાનિલ' લેબ્સને નષ્ટ કરવાનો છે. ટ્રમ્પના આ દબાણે મેક્સિકો સરકારની ઊંઘ હરામ કરી દીધી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિમાં સંગઠનની નિમણૂકોને લઈ ભારે વિવાદ સર્જાયો છે. પક્ષના પાયાના કાર્યકરોની લાગણીને નેવે મૂકીને 'સેન્સ' પ્રક્રિયાની અવગણના કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે 52 થી વધુ સક્રિય કાર્યકરોએ બળવો કર્યો છે. નારાજ કાર્યકરોએ એક ઠરાવ પસાર કરી પ્રદેશ કોંગ્રેસ સમિતિને મોકલી આપ્યો છે અને જો માંગણી સંતોષવામાં નહીં આવે તો તમામ કાર્યકરોએ નિષ્ક્રિય થઈ જવાની અથવા રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે. પાયાના કાર્યકરોનો આક્રોશ: 'ભાજપના આયાતી નેતાઓ ફાવ્યા' કાર્યકરો દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવમાં મુખ્યત્વે ત્રણ ગંભીર બાબતો સામે આવી છે જેમાં શહેર પ્રમુખ તરીકે ગ્રામ્ય વિસ્તારના મતદારની નિમણૂક કરવામાં આવી છે, જે પક્ષના બંધારણ વિરુદ્ધ હોવાનો દાવો કરાયો છે.જે નેતા બે વર્ષ પહેલા જ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે, તેમને સીધા તાલુકા પ્રમુખ પદે બેસાડી દેતા વર્ષોથી લોહી-પરસેવો પાડનારા કાર્યકરોમાં નારાજગી વ્યાપી છે.ઋત્વિકભાઈ મકવાણા અને જશવંતસિંહ ભટ્ટીની હાજરીમાં લેવાયેલી સેન્સ પ્રક્રિયા મુજબ નિમણૂકો થઈ નથી તેવું કાર્યકરોનું માનવું છે. પક્ષની છબીને નુકસાન થવાનો ભય નારાજ કાર્યકરોએ રજૂઆતમાં જણાવ્યું છે કે નવા નિમાયેલા પદાધિકારીઓની ભૂતકાળની કામગીરી અને જાહેર છબી કોંગ્રેસના મૂલ્યોને અનુરૂપ નથી. પાયાના કાર્યકરો સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર જ આ નિર્ણય ઠોકી બેસાડવામાં આવ્યો હોવાથી સંગઠન નબળું પડી રહ્યું છે. કાર્યકરોએ માંગ કરી છે કે સેન્સ વિરુદ્ધ જઈને પક્ષમાં ભંગાણ પાડનારા તત્વો સામે તપાસ કરવામાં આવે. હિરાભાઈ ચોટવાનું નિવેદન: 'આ આંતરિક લોકશાહી છે' બીજી તરફ, ગુજરાત પ્રદેશ ડેલીગેટ હીરાભાઈ ચોટવાએ આ વિવાદને હળવાશથી લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આંતરિક લોકશાહીમાં માને છે. અહીં કાર્યકરોને પોતાની વ્યથા કે મુદ્દો રજૂ કરવાની સ્વતંત્રતા છે. જ્યારે આ વાત મોવડી મંડળ સુધી પહોંચશે ત્યારે 'ઘીના ઠામમાં ઘી પડી જશે'. આમાં કોઈ મોટો અસંતોષ હોય તેવું મને લાગતું નથી. માંગણી નહીં સંતોષાય તો રાજીનામાના ભણકારા કેશોદ કોંગ્રેસના કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે કાર્યકરોની લાગણી સ્વીકારીને ફેરફાર કરવામાં નહીં આવે, તો તેઓ પક્ષના તમામ કામોથી અળગા થઈ જશે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ મામલે કેવો મધ્યસ્થી રસ્તો કાઢે છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.
રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર
Manikarnika Ghat Controversy: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વારાણસીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના પુન:વિકાસને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. ખડગેનું કહેવું છે કે, 'સૌંદર્યકરણ અને વ્યાપારીકરણના નામે વિરાસતોને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો કે PM મોદી ઈતિહાસની દરેક ધરોહરનું નામો નિશાન મિટાવી પોતાની નેમ-પ્લેટ ચોંટાડવા માંગે છે ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધ્વસ્ત કર્યો 15 જાન્યુઆરી 2026ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'જી, સુંદરતા અને વ્યાપારીકરણના નામે વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર બુલડોઝર ચલાવીને સદીઓ જૂના ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ધ્વસ્ત કરવાનું કામ કર્યું છે. પહેલા કોરિડોરના નામે મોટા અને નાના મંદિરો અને તીર્થસ્થાનો તોડી પાડવામાં આવ્યા હતા, અને હવે પ્રાચીન ઘાટનો વારો છે.
વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના હરીયાપાર્ક વિસ્તારમાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક પુરુષ અને એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. એલ.સી.બી. વલસાડની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે એ.એસ.આઈ. અજય અમલાભાઈને વાપીના ડુંગરા હરીયાપાર્ક વિસ્તારમાં નકલી નોટોના ચલણ અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સંજય સોમનાથભાઈ પવારને ઝડપી પાડ્યો હતો. સંજયની પૂછપરછમાં છાયાદેવી મંડલ નામની મહિલા સહિત અન્ય સાથીદારો સાથે મળીને નકલી નોટો છાપવાનું આયોજન સામે આવ્યું હતું. આરોપીઓએ રૂ. 30 લાખની અસલી નોટો સામે રૂ. 80 લાખની નકલી નોટો બનાવી આપવાનું નક્કી કર્યું હતું. છાયાદેવીએ આ કામ માટે પોતાનો ફ્લેટ ભાડે આપ્યો હતો, જ્યાં કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને રૂ. 500ના દરની નકલી નોટો છાપવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સંજય સોમનાથભાઈ પવાર (રહે. વાપી, મૂળ નાશિક, મહારાષ્ટ્ર) અને છાયાદેવી સુદેશ મંડલ (રહે. વાપી, મૂળ ઝારખંડ)નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રૂ. 500ના દરની કુલ 1215 નકલી નોટો જપ્ત કરી છે, જેની અંકિત કિંમત રૂ. 24,30,000/- થાય છે. આ ઉપરાંત, એક કલર પ્રિન્ટર, કટર, સ્ટીલની ફૂટપટ્ટી, ઇલેક્ટ્રિક બોર્ડ, પેપરના પેકેટો, બે મોબાઈલ ફોન અને રોકડા રૂ. 1,580/- સહિત કૂલ રૂ. 17,680/-નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઓપરેશન વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડુંગરા પોલીસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ગોધરા સિવિલ હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર યુવાનના મોઢા પર ચાઈનીઝ દોરો ફિરાઈ જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ગોધરા શહેરના પોલિટેકનિક કોલેજ વિસ્તારમાં રહેતા દિવેશભાઈ પરમાર પોતાની બાઈક લઈને સિવિલ હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક ચાઈનીઝ દોરો તેમના મોઢાના ભાગે આવી ગયો હતો. આ ઘટનામાં દિવેશભાઈના નાક અને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થળ પર હાજર મિત્રોની મદદથી ઇજાગ્રસ્ત દિવેશભાઈને તાત્કાલિક નજીકમાં જ આવેલી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા તેમના નાક અને હાથના ભાગે થયેલી ગંભીર ઈજાઓ પર તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
કોળી સમાજના યુવકોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ બગદાણામાં નવનીત બાલધિયાને ન્યાય આપવાની માગ સાથે કોળી સમાજના ચાર યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જ્વલનશીલ પ્રવાહી છાંટતાં જ પોલીસે તેમને પકડી લીધા.યુવકોનું કહેવું છે કે પોલીસ અસલી આરોપીઓને કેમ નથી પકડતી. આ કેસમાં માયાભાઈ આહીરના દીકરાની સંડોવણીની ચર્ચા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુપ્રીમ કોર્ટના નિર્દેશોની અવગણના કરતા નોટિસ ગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસર્યા વગર જ ઘર તોડવાની કામગીરીમાં અધિકારીઓને કન્ટેમ્ટ નોટિસ ફટકારી છે. બાપુનગરમાં પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનાર આરોપીનું ઘર તોડી પાડવાના કેસમાં હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 35 દિવસમાં બાળકી સાથેના દુષ્કર્મ કેસનો ચૂકાદો રાજકોટના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે નિર્ભયાકાંડ જેવી ક્રુરતા આચરવાના કેસમાં 35 દિવસમાં ચૂકાદો આવી ગયો.12 જાન્યુઆરીએ રાજરોટ સ્પેશ્યલ કોર્ટે બાળકી પર દુષ્કર્મ કરનાર રેમસિંગ ડૂડવાને દોષિત ઠેરવ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 70 ફૂટ ઉંચા બ્રિજ પરથી પટકાયો પરિવાર સુરતમાં પતંગની દોરી વચ્ચે આવતા બાઈક સવાર પરિવાર 70 ફૂટ ઉંચા ઓવરબ્રિજથી નીચે પટકાયો. પિતા પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે માતાનું સારવાર દરમિયાન મોત થયું. ઘટના 14 જાન્યુઆરીએ સુરતના ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ પર બની હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સભા સંબોધવા ન દેવાતા મંત્રીજી રોષે ભરાયા દેવગઢ બારિયામાં કોળી સમાજના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બચુ ખાબડ રોષે ભરાયા. સભા સંબોધવા ન દેવાતા બચુ ખાબડે ધમકી આપી કે જોસ્પીચમાં નામ નહી લખે, તો મેળો બંધ કરાવી દઈશ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે કાર વચ્ચેની ટક્કરમાં બે માસુમોના મોત રાજકોટ-મોરબી હાઈવે પર સ્કોર્પિયો અને I-20 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો... જેમાં બે બાળકોના મોત નિપજ્યા.. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો બુકડો બોલાઈ ગયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિશ્વ કલ્યાણ માટે નર્વાણ મંત્રનું અનુષ્ઠાન શરુ પાવાગઢમાં વિશ્વ કલ્યાણ-શાંતિ માટે 24 કરોડ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન શરુ થયું. આ મહાયજ્ઞ 300 દિવસ ચાલશે જેમાં ભક્તો રજિસ્ટ્રેશન કરાવી આહુતિ આપી શકશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રેનના ડબ્બામાંથી ગરીબોના સરકારી અનાજથી ચોરી ટ્રેનમાંથી સરકારી અનાજ ચોરી કરાતું હોવાનો આપના નેતાનો આક્ષેપ. નક્કી કરેલી જગ્યાએ જ ટ્રેન રોકી ડબ્બામાંથી ગરીબો માટેના અનાજની બોરીઓ નીચે ખાડામાં ફેંકવામાં આવતું . આમાં મોટા માફિયાની સંડોવણીની શક્યતા સાથે તપાસની માગ કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શ્યાહી લગાવી ગીરીશ ભીમાણીમું મોં કાળુ કરાયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીનું મોં શ્યાહી લગાવી કાળું કરાયું..ગીરીશ ભીમાણી પર વિદ્યાર્થીનીઓની છેડતીનો આક્ષેપ છે. એનએસયુઆઈએ ગીરીશ ભીમાણીની ધરપકડ કરવાની માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પેટ્રોલ પંપની બાજુના મોલમાં આગ લાગતા અફરાતફરી વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલા આવેલા મોલમાં આગ લાગતા અફરાતફરી મચી. જોકે પાર્કિંગમાં રહેલી કારમાં આગ લાગ્યા બાદ ફેલાઈ હતી, પંપ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના હેતુથી પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા રાજકોટ રેલ્વે સ્ટેશન પર ‘સ્માર્ટ ડિજિટલ લોકર’ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ અત્યાધુનિક ‘સેલ્ફ-સર્વિસ’ ક્લોક રૂમ મુસાફરોને સુરક્ષિત અને ટેકનોલોજી આધારિત સામાન સંગ્રહની સુવિધા પૂરી પાડે છે. આ સેવા 3 વર્ષના કરાર હેઠળ પ્લેટફોર્મ નંબર 1 પર અપર ક્લાસ વેઇટિંગ હોલ પાસે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સંપૂર્ણ ડિજિટલ અને સુરક્ષિત પ્રક્રિયા પરંપરાગત ક્લોક રૂમથી વિપરીત, આ સિસ્ટમમાં રેલ્વે કર્મચારીની જરૂર પડતી નથી. મુસાફરો જાતે જ પોતાનો સામાન રાખી અને મેળવી શકે છે. આ લોકર્સ OTP અને QR કોડ આધારિત એક્સેસ પર કાર્ય કરે છે, જે પ્રક્રિયાને અત્યંત ઝડપી અને સુરક્ષિત બનાવે છે. વળી, તમામ ચુકવણી ડિજિટલ અને કેશલેસ હોવાથી પારદર્શિતા જળવાય છે. લોકર વપરાશના દર (GST સહિત) મુસાફરો તેમના સામાનના કદ અને સમય મર્યાદા મુજબ નીચે મુજબના શુલ્ક ચૂકવીને આ સેવાનો લાભ લઈ શકે છે: પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ આ સુવિધા ખાસ કરીને એવા મુસાફરો માટે ઉપયોગી છે જેઓ ટૂંકા સમય માટે રાજકોટ આવ્યા હોય અને સામાન સ્ટેશન પર મૂકીને શહેરની મુલાકાત લેવા માંગતા હોય. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ડિવિઝનના દ્વારકા અને જામનગર સ્ટેશન પર પણ આવી જ સુવિધા તાજેતરમાં શરૂ કરવામાં આવી છે, જે ભારતીય રેલ્વેના આધુનિકીકરણના અભિગમને દર્શાવે છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે મેચની ત્રણ મેચની સીરિઝમાં 14 જાન્યુઆરીએ બીજી મેચમાં ભારતની હાર બાદ આજે બંને ટીમના ખેલાડીઓ રાજકોટથી ઇન્દરો જવા રવાના થયા હતા. બપોરના 3 વાગ્યે બંને ટીમના ખેલાડીઓ હોટલથી હિરાસર એરપોર્ટ અને ત્યાંથી ઇન્દોર જવા રવાના થયા હતા. કારણ કે, આગામી 18 જાન્યુઆરીના રોજ ત્રીજી વનડે મેચ ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. હાલ આ શ્રેણીમાં 1-1થી બરાબરી બાદ ત્રીજી મેચમાં શ્રેણી જીતવા બંને ટીમના ખેલાડીઓ મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 5 મેચ રમાઈ છે. જેમાંથી માત્ર એક મેચમાં જ ભારતની જીત થઈ હતી. જેથી વનડે મેચમાં રાજકોટ ભારતીય ટીમ માટે અનલક્કી સાબિત થયું છે. હોટલ બહાર ખેલાડીઓને જોવા ક્રિકેટરસિકો ઉમટ્યારાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અને ત્રણ દિવસ રાજકોટમાં રોકાણ બાદ બંને ટીમના ખેલાડીઓ આજે ઇન્દોર જવા રવાના થયા હતા. ક્રિકેટરોના આગમનની જેમ વિદાય સમયે પણ હોટલ બહાર ક્રિકેટ રસિકો ખેલાડીઓની એક ઝલક જોવા ઉમટી પડ્યા હતા. 12 જાન્યુઆરીને સોમવારના રોજ ખેલાડીઓના આગમન સમયથી ત્રણ દિવસ રાજકોટના ક્રિકેટ રસિકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલાડીઓને એક ઝલક જોવા કલાકો સુધી લોકો ઊભા રહ્યાભારતીય ટીમના ખેલાડીઓ ગત 12 જાન્યુઆરીના રોજ રાજકોટ આવી પહોંચ્યા હતા અને તેઓનું રોકાણ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ ખાતે રાખવામાં આવ્યું હતું. જ્યાં ખેલાડીઓની એક ઝલક જોવા માટે તેમના ફેન્સ કલાકો સુધી હોટલ બહાર ઊભા રહ્યા હતા. રાજકોટમાં આગમન સમયે તેમજ 13 તારીખે નેટ પ્રેક્ટિસ માટે જતા તેમજ આવતા સમયે અને ગઈકાલે મેચના દિવસે હોટલથી સ્ટેડિયમ જતા અવતા ખેલાડીઓને જોવા માટે લોકો હોટલ બહાર કલાકો સુધી ઊભા રહ્યા હતા. ગઇકાલે મેચ પૂર્ણ થયા બાદ આજે બપોરના 3 વાગ્યે ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ ખાતેથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે રવાના થયા હતા. આ સમયે પણ ક્રિકેટ રસિકો ખેલાડીઓની એક ઝલક નિહાળવા માટે હોટલ બહાર ઉભા રહ્યા હતા. કોહલીનો ક્રેઝી ફેન 6 ફૂટ રેલિંગ કૂદી મેદાનમાં ઘુસ્યો હતોઉલ્લેખનીય છે કે, ગઈકાલે ચાલુ મેચ દરમિયાન વિરાટ કોહલીનો ક્રેઝી ફેન 6 ફૂટ રેલિંગ કૂદી મેદાનમાં ઘુસી ગયો હતો અને વિરાટ કોહલીને ગળે પણ મળ્યો હતો. જેનું નામ અક્સમ મુલા હોવાનું અને તે 15 વર્ષનો હોવાનું તેમજ મૂળ જામનગરનો વતની હોવાનું સામે આવ્યું છે. જે પોતે વિરાટ કોહલીનો ફેન હતો જેથી તેને મળવા માટે મેદાનમાં ઘુસ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસે બેંક ખાતાની કીટ કમિશનથી મેળવીને ઠગાઈ કરતા એક સિન્ડિકેટના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5 લાખ રોકડા, 4 મોબાઈલ ફોન, 9 એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુક જપ્ત કરવામાં આવી છે. ઓનલાઈન આર્થિક ઠગાઈના વધતા ગુનાઓને અંકુશમાં લેવા માટે આઈજી દ્વારા કડક કાર્યવાહી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ નિર્દેશોના આધારે, જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ઝાલા અને સાયબર ક્રાઈમના પીઆઈ આઈ.એસ. ધાસુરાની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ કમિશનના આધારે બેંક ખાતાની કીટ મેળવતા હતા. તેઓ રાજ ચંપાવત (મૂળ રાજસ્થાન, હાલ ફિલિપાઈન્સ) અને અન્ય સાયબર કોડ ભરતી ગેંગના સભ્યો સાથે મળીને લોકોને છેતરતા હતા અને છેતરપિંડીથી મેળવેલા નાણાંનો અંગત ઉપયોગ કરતા હતા. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ટેકનિકલ એનાલિસિસના આધારે જામનગરના નાના થાવરીયા ગામના હરદેવસિંહ લખુભા કેર, જ્યોતપાર્કના લલિત રમેશ સાંગાણી, ધરારનગર સદગુરુ સોસાયટીના મહમદહનીફ સુલેમાન મોડા અને ન્યુસ્કુલ પાછળ ગોપાલ ભુવન ડેલો ખાતે રહેતા હર્ષ અનિલ જોઇસરની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 5 ચેકબુક, પાસબુક, 9 એટીએમ કાર્ડ, 4 મોબાઈલ ફોન અને 5 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં રાજ ચંપાવત, જે મૂળ રાજસ્થાનનો છે અને હાલ ફિલિપાઈન્સમાં રહે છે, તેની શોધખોળ ચાલુ છે.
નવસારીમાં અભયમ હેલ્પલાઇને 2,546 મહિલાઓને મદદ કરી:2025માં ઘરેલુ હિંસાના 1,215 કેસમાં બચાવ કામગીરી
નવસારી જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇને વર્ષ 2025 દરમિયાન 2,546 મહિલાઓને મદદ પૂરી પાડી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને GVK EMRI દ્વારા સંચાલિત આ હેલ્પલાઇન શારીરિક, માનસિક સતામણી અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે સુરક્ષાનો આધાર બની છે. જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં નવસારી જિલ્લામાં કુલ 2,546 કોલ પ્રાપ્ત થયા હતા. આમાંથી સૌથી વધુ 1,215 કેસ ઘરેલુ હિંસાના હતા. આ ઉપરાંત, 439 કેસ શારીરિક-માનસિક-જાતીય સતામણીના, 197 લગ્નજીવનના વિખવાદોના અને 420 અન્ય મહિલાલક્ષી પ્રશ્નોના હતા. પ્રાપ્ત થયેલા કોલ્સમાંથી 615 કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ટીમના પ્રયાસોથી 498 કિસ્સાઓમાં પરિવાર કે પક્ષકારો વચ્ચે સફળ સમાધાન કરાવી ઘર તૂટતા બચાવ્યા હતા. જ્યારે 103 ગંભીર કિસ્સાઓમાં મહિલાઓને વધુ સુરક્ષા માટે નારી સંરક્ષણ ગૃહ અથવા અન્ય સરકારી એજન્સીઓમાં રિફર કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં વર્ષ 2025 દરમિયાન 181 હેલ્પલાઇન પર કુલ 1,83,520 કોલ્સ આવ્યા હતા. તેમાંથી 37,780 અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમની ટીમે સ્થળ પર જઈને કાર્યવાહી કરી હતી. પોલીસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ અને વહીવટી તંત્રના સંકલનથી પીડિત મહિલાઓને કાયદાકીય અને સામાજિક આશ્રય પૂરો પાડવામાં આવ્યો છે. અભયમ ટીમ દ્વારા મહિલાઓને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની હિંસા કે સતામણી સામે મૌન ન રહે અને 181 પર કોલ કરે. હેલ્પલાઇન 24x7 મદદ માટે તત્પર છે.
સમીના જૂના બસ સ્ટેન્ડ પાસે ઉછીના પૈસાની ઉઘરાણી મામલે બે શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘૂસી છાપરા અને બહાર પડેલી રીક્ષાને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાટણ જિલ્લાના સમી ટાઉનમાં રહેતા પાયલબેન ભૂપતભાઈ વાદીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પાયલબેનના ભાઈ મહેશે આશરે બે-ત્રણ વર્ષ પહેલા ઇમરાન ઉર્ફે ઓઝો ઇદ્રીશભાઈ સૈયદ પાસેથી રૂ. 50,000 ઉછીના લીધા હતા. મોટાભાગની રકમ પરત ચૂકવી દેવાઈ હતી, પરંતુ રૂ. 15,000 બાકી હતા, જે માટે ઇમરાન વારંવાર ધમકીઓ આપતો હતો. ગત તા. 13/01/2026 ના રોજ પાયલબેનના માતા-પિતા અને ભાઈઓ સામાજિક પ્રસંગે બહારગામ ગયા હતા. ઘરે માત્ર પાયલબેન અને તેમના ભાભી હાજર હતા. આ તકનો લાભ લઈ રાત્રિના સમયે ઇમરાન ઉર્ફે ઓઝો ઇદ્રીશભાઈ સૈયદ અને ઇમરાન ઉર્ફે મોન્ટી સુલેમાનભાઈ સૈયદ મોટરસાયકલ પર આવ્યા હતા. તેમણે ઘરમાં ઘૂસી વાંસ અને પ્લાસ્ટિકના છાપરા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી. ત્યારબાદ ઘરની બહાર પડેલી રીક્ષાને પણ આગ ચાંપી દીધી હતી. બંને મહિલાઓની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. આરોપીઓએ પૈસા ન ચૂકવાય તો વધુ નુકસાન કરવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ મામલે સમી પોલીસે બી.એન.એસ.ની કલમ 334(1), 326(g) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિને સોંપી છે.
રાજકોટ ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન'માં સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓએ તૈયાર કરેલી ‘ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ’ સમગ્ર પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અદ્યતન સિસ્ટમ ખાસ કરીને હાઈવે પર થતા જીવલેણ અકસ્માતો અને ધુમ્મસને કારણે સર્જાતી ‘ચેઈન ઓફ એક્સિડન્ટ્સ’ને રોકવા માટે તૈયાર કરવામાં આવી છે. અકસ્માત નિવારણ અને ‘ગોલ્ડન અવર’માં મદદઅકસ્માત થતાંની સાથે જ આ સિસ્ટમ 5 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા અન્ય વાહનોને ત્વરિત સૂચના મોકલે છે, જેથી પાછળ આવતા વાહનો ગતિ ધીમી કરી શકે. GPS અને સેન્સરની મદદથી અકસ્માતનું સચોટ લોકેશન નજીકના પોલીસ સ્ટેશન, 108 એમ્બ્યુલન્સ સેવા અને પરિવારજનોને તુરંત પહોંચી જાય છે. અકસ્માત બાદના પ્રથમ કલાક એટલે કે ‘ગોલ્ડન અવર’માં સારવાર મળવાથી માનવ જિંદગી બચવાની શક્યતા અનેકગણી વધી જાય છે. રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા મોડલસુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર દિવ્યાંગ જે. શાહના માર્ગદર્શન હેઠળ ડી.એમ. ચુડાસમા અને એન.એમ. બેલીમની ટીમે આ સિસ્ટમ વિકસાવી છે. નોંધનીય છે કે, આ ઇનોવેટિવ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાની ટેકનિકલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી ચૂક્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ આ વિદ્યાર્થીઓની કૌશલ્ય શક્તિને બિરદાવી તેમને વ્યક્તિગત અભિનંદન પાઠવ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાતમાં ગુજરાતની ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રગતિનું પ્રદર્શનરાજકોટના આ પ્રાદેશિક પ્રદર્શનમાં 450થી વધુ સ્ટોલ્સ દ્વારા ગુજરાતની ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ 20 વર્ષ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાતના જે બીજ રોપ્યા હતા, તે આજે યુવાનોના ઇનોવેશન દ્વારા વટવૃક્ષ બની રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 'સ્કિલ ઇન્ડિયા' અભિયાનને વેગ મળતા, રાજ્યના આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ હવે સામાજિક સમસ્યાઓના સ્માર્ટ ટેકનિકલ ઉકેલો આપી રહ્યા છે. ઉદ્યોગ જગત સાથે સીધું જોડાણઆ એક્ઝિબિશન માત્ર પ્રદર્શન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને ઉદ્યોગ જગત સાથે સીધું જોડાણ પૂરું પાડે છે. 'લોકલ ફોર વોકલ'ના મંત્ર સાથે આ પ્લેટફોર્મ ગુજરાતના ઉભરતા ઇનોવેટર્સ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું છે.
પાલનપુર પંથકમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપસર એક ઉદ્યોગપતિની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઉદ્યોગપતિ હસમુખ પટેલે સગીરાને લોભ-લાલચ આપીને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ ચંડીસર ખાતે આવેલી પોતાની ફેક્ટરીમાં પણ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ સગીરાએ તેના પરિવારજનોને જાણ કરતા, પરિવારજનોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ઉદ્યોગપતિ હસમુખ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી હસમુખ પટેલને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ હાલ તમામ પુરાવા એકઠા કરી રહી છે અને ટેકનિકલ પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના DYSP જે જે ગામીતેે જણાવ્યું હતું કે, આવા કિસ્સાઓમાં માતા-પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. કોઈપણ છેડતી કે હેરાનગતિની ગંભીર બાબત જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ, જેથી આવી ઘટનાઓ બનતી રોકી શકાય.
UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા-2026ની તૈયારી કરતા ઉમેદવારો માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. SPIPAના તાલીમ કાર્યક્રમ (બેચ 2025-26) અંતર્ગત પ્રિલિમ્સ માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરાયું છે, જે ઉમેદવારોને પરીક્ષાની વાસ્તવિક માહોલમાં તૈયારી કરવાની તક આપશે. આ મોક ટેસ્ટ માટે SPIPA અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણા સ્થિત પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ્રવેશ મેળવેલા અને જેમણે ડિપોઝિટ પરત મેળવી નથી, તેવા ઉમેદવારો 16 જાન્યુઆરી 2026થી કચેરી સમય દરમિયાન અસલ ડિપોઝિટ પહોંચ રજૂ કરીને સંબંધિત કેન્દ્ર પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. વેબસાઇટ પર આપેલ ગૂગલ ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશેવધુમાં, જેમણે અગાઉ ડિપોઝિટ પરત મેળવી લીધી છે અથવા SPIPAના વર્તમાન તાલીમ કાર્યક્રમમાં જોડાયેલા નથી, તેવા બાહ્ય ઉમેદવારો પણ રૂ. 1,000ની નોંધણી ફી ભરીને આ સાપ્તાહિક મોક ટેસ્ટમાં ભાગ લઈ શકશે. SPIPA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. ઉમેદવારોને SPIPAની વેબસાઇટ પર ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને UPI મારફતે ફી ભરવી પડશે અને ત્યારબાદ વેબસાઇટ પર આપેલ ગૂગલ ફોર્મ ફરજિયાત રીતે ભરવાનું રહેશે. ઉમેદવારો ઉપરોક્ત કોઈપણ તાલીમ કેન્દ્ર પર મોક ટેસ્ટ આપી શકશે. ટેસ્ટ માટે ભરેલી ફી કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીંSPIPAએ વધુમાં જણાવ્યું છે કે, મોક ટેસ્ટ માટે ભરેલી ફી કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીં અને પરીક્ષા સમયે ફી ભર્યાની અસલ પહોંચ સાથે રાખવી ફરજિયાત રહેશે. આ નોંધણી માત્ર UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા-2026ના મોક ટેસ્ટ માટે જ માન્ય રહેશે.
ઉત્તરાયણની રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, પરંતુ આ સાથે જ અકસ્માતો અને ઇમર્જન્સી ઘટનાઓમાં પણ મોટો વધારો જોવા મળ્યો હતો. રાજ્યની બે મહત્વની સેવાઓ 108 ઇમર્જન્સી મેડિકલ સર્વિસ (EMS) અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ એ ખડેપગે રહીને હજારો જરૂરિયાતમંદોને સહાય પહોંચાડી હતી. 108 સેવા પર કોલનો ભારે ધસારો 14 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યભરમાં 108-EMS દ્વારા કુલ 5,897 મેડિકલ કેસો હેન્ડલ કરવામાં આવ્યા, જે સામાન્ય દિવસોની તુલનામાં 33% નો વધારો દર્શાવે છે. ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) પતંગની પ્રવૃત્તિઓ અને ધાબા પરની ભીડને કારણે આ કેસોમાં 171% નો જંગી વધારો થયો છે. પતંગના દોરાને કારણે થતી ઇજાઓમાં 1,018.85% નો આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો. ધાબા પરથી પડી જવાના કેસોમાં 92.33% નો વધારોતહેવાર દરમિયાન વિવાદો વધતા મારામારીના કેસોમાં 284.10% નો વધારો થયો. ધાબા પરથી પતંગ ચગાવતા પડી જવાના કેસોમાં 92.33% નો વધારો નોંધાયો છે. વાહનવ્યવહારમાં વધારો અને રસ્તા પર પતંગના કારણે થતા ધ્યાનભંગને લીધે વ્હીક્યુલર ટ્રોમા કેસોમાં 118.71% નો વધારો થયો છે. ઇમર્જન્સી કેસોમાં અમદાવાદ (1,176 કેસ) મોખરે રહ્યું, ત્યારબાદ સુરત અને રાજકોટમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા. 14 જાન્યુઆરીએ 1,205 ઇમર્જન્સી કેસો ઉકેલાયા1962 કરુણા એમ્બ્યુલન્સની કામગીરી ઉત્તરાયણ દરમિયાન અબોલ જીવોની સારવાર માટે 1962 સેવાની ટીમો સતત કાર્યરત રહી હતી. 14 જાન્યુઆરીએ કુલ 1,205 ઇમર્જન્સી કેસો ઉકેલવામાં આવ્યા, જે સામાન્ય દિવસો કરતા 16.36% વધુ છે. પતંગના દોરાના કારણે પક્ષીઓના ઇમર્જન્સી કેસોમાં 1,668.68% નો નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાહતની વાત એ છે કે પશુ સંબંધિત ઇમર્જન્સી કેસોમાં 24.79% નો ઘટાડો જોવા મળ્યો છે, જે જાહેર જાગૃતિનું પરિણામ છે. અમદાવાદ (84.69% વધારો), અરવલ્લી, સુરત અને જામનગરમાં પક્ષીઓને ઈજા થવાના સૌથી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. અમદાવાદ સિવિલની વાત કરીએ તો, છેલ્લા 48 કલાક દરમિયાન, 13મી તારીખની સવારથી લઈને 15મી તારીખની સવાર સુધીમાં, હોસ્પિટલમાં વિવિધ અકસ્માત અને ઇજાઓના કુલ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. 17 દર્દીઓને દાખલ કરવાની જરૂર પડીસ્ટ્રિંગ ઇજાઓના કેસોમાં કુલ 42 દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 25 દર્દીઓને ઓપીડી ધોરણે સારવાર આપવામાં આવી, જેમને નાક, આંગળીઓ અને ચહેરા પર નાની કાપની ઇજાઓ હતી. જ્યારે 17 દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી, જેમાંથી 37 દર્દીઓમાં નાની સિલાઈ કરવામાં આવી અને 5 દર્દીઓમાં ગળાના ભાગે મોટી સિલાઈ કરવી પડી. આ કેસોમાં 29 પુરુષો અને 5 મહિલાઓ સામેલ હતા, જ્યારે 5 પુરૂષ બાળકો અને 3 બાળકીઓને પણ ઇજાઓ પહોંચી હતી. 4 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યુંઉંચાઈ પરથી પડવાના બનાવોમાં કુલ 24 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જેમાંથી 7 દર્દીઓને ઓપીડી સારવાર બાદ રજા આપવામાં આવી, જ્યારે 17 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા. તેમાંના 5 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, 8 દર્દીઓ હવામાં સ્થિર હાલતમાં છે, 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 2 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. આમાંથી 4 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 2 ન્યુરો વિભાગમાં અને 2 ઓર્થો વિભાગમાં હતા. આ જૂથમાં 20 પુરુષો, 2 મહિલાઓ, 1 બાળક અને 1 બાળકી સામેલ હતા. માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોતરોડ ટ્રાફિક અકસ્માતના બનાવોમાં કુલ 50 દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 30 દર્દીઓને રજા આપવામાં આવી, જેમાં એક દર્દીને હોસ્પિટલ લાવવામાં આવતા પહેલા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ 20 દર્દીઓ દાખલ છે, જેમાંથી 5 વેન્ટિલેટર પર, 2 ઓક્સિજન પર અને 13 દર્દીઓ સ્થિર હાલતમાં છે. આ અકસ્માતોમાં 43 પુરુષો, 1 મહિલા, 5 બાળકો અને 1 બાળકી અસરગ્રસ્ત થયા છે.
અમદાવાદમાં ફરજ બજાવી રહેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓ નાના કર્મચારીઓ ગણાતા એવા ખલાસીઓને પોતાના ઘરમાં બોલાવીને ઘર કામ કરાવી રહ્યા છે. રેલવેની જ એક મહત્વપૂર્ણ કમિટીમાં ઘણા વર્ષો સુધી સેવા આપનારા પૂર્વ સભ્ય કશ્યપ વ્યાસે આ સંદર્ભમાં મુંબઈના પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તથા સીસીએમ સહીતના ટોચના અધિકારીઓને આ સંદર્ભમાં ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માગણી કરી છે. ડ્રાઈવર તરીકે રેલવેના ગાર્ડનો ઉપયોગતેઓએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે,અમદાવાદ ડીવીઝનના સિનિયર ડીસીએમ પોતાના ડ્રાઈવર તરીકે રેલવેના ગાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. એટલું જ નહી, પોતાના ઘરે પણ ખલાસીને ઘરકામ કરવા રાખે છે. સત્તાનો દૂરુપયોગ કરતા હોવાનો આક્ષેપઅનુ ત્યાગી તેમજ મકવાણા નામના રેલવેના આ ટોચના અધિકારીઓ ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા હોવા છતાં અને તેમને સરકારી એલાઉન્સ મળતું હોવા છતાં પોતાની સત્તાનો દૂરુપયોગ કરી રહ્યા છે. બન્ને અધિકારીઓના પત્ની પણ ક્લાસ વન અધિકારીઓ હોવાથી તેમને પણ સરકારની અને સુવિધાઓ મળી રહી છે. આમછતાં ખલાસીઓને ઘરકામ માટે બોલાવાય છે. ઘણી વખત તો બન્ને અધિકારીઓ ઘરે નહીં હોવાથી બાળકોને સાચવવા માટે પણ ખલાસી ભાઈઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઘરકામનો ઇન્કાર કરે તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી જો કોઈ દલીલ કરે કે ઘરકામ કરવા માટે આનાકાની કરે તો તેમને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપીને ફરજીયાત રીતે ઘરકામ કે છોકરાઓને સાચવવા માટે ધરાર બાલાવાય છે. ત્યાગી અહીં ફરજ પર આવ્યા ત્યારથી એટલે કે છેલ્લા 10 વર્ષથી ઘણા અધિકારીઓ-કર્મચારીઓના પ્રમોશન ઓર્ડર પણ બાકી છે. નવા ભરતી થયેલા કર્મચારી ત્રણ મહિનાથી પોસ્ટિંગની રાહમાંઆ ઉપરાંત નવી ભરતી થયેલા કર્મચારીઓ-અધિકારીઓને ત્રણ ત્રણ મહીનાથી પોસ્ટીંગ અપાતુ નથી. જો કે, તેઓ હાલમાં ઘરે હોવા છત્તા પગાર ચૂકવવામાં આવતો હોવાથી રેલવેના પૈસાનુ ખોટી રીતે પાણી થઈ રહ્યુ છે. એવો આક્ષેપ પણ છે કે, ડીવિઝનના કર્મચારીઓને શનિ અને રવિવારે રજા હોવા છત્તા કામ માટે પરાણે બોલાવવામાં આવી રહ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, અનુ ત્યાગીનો જે ડ્રાઈવર છે એ ગાર્ડમાં પાસ થયો છે પરંતુ હજુ પોસ્ટીંગ થયું નથી.
અમદાવાદના DCB પોલીસ સ્ટેશનમાં પતિ સામે વ્યવસાયે CA પત્નીએ દેહજની માગણીની નોંધાયેલી ફરિયાદમાં હાઈકોર્ટે પણ પતિની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. દારૂનો બંધાણી પતિ સિગારેટના ડામ આપતો હોવાનો અને સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય આચરતો હોવાનો પત્ની દ્વારા આક્ષેપ કરાયો હતો. આરોપી પતિની સામે ભૂતકાળમાં પ્રથમ પત્નીએ પણ આ પ્રકારના જ આક્ષેપો કર્યા હોય હાઈકોર્ટે પતિની કસ્ટડી જરુર હોવાનું કહી આગોતરા જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. પતિ અને સસરા સામે CA પત્નીના ગંભીર આક્ષેપપત્નીએ આક્ષેપ કર્યો હતો કે, તેના સસરા પણ તેના રૂમમાં આવી ગયા હતા અને તેને કપડાં ઉતારવા જણાવ્યું હતું. અરજદાર મહિલા પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જ્યારે પતિ પણ કરોડપતિ છે. તેને આક્ષેપ કર્યો હતો કે તે લગ્ન સમયે 10 કિલો ચાંદી અને 15 લાખ રૂપિયા રોકડા લાવી હતી તે પણ તેને પરત અપાયા નથી. જ્યારે પતિનું કહેવું હતું કે તેના હૃદયની સર્જરી કરાવવામાં આવી છે. તેના ઘરના લોકો વૃદ્ધ છે અને આક્ષેપ પ્રમાણેની કોઈ કૃત્ય કરી શકે તેમ નથી. પત્ની આક્ષેપ કર્યો હતો કે પતિ તેને સિગારેટથી ડામ આપતો હતોં. પત્નીનું પતિ અને સસરા દ્વારા શારિરિક શોષણ કરવામાં આવતું હતું. પતિ જોડે પત્નીના પ્રાઇવેટ મોમેન્ટના ફોટોગ્રાફ હતા. પતિ દારૂનો બંધાણી છે. પતિ પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. ઘટનાના દોઢ વર્ષ બાદ ફરિયાદ નોંધાવાઈ હોવાની પતિની રજૂઆતઅરજદાર પતિના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પતિની કસ્ટોડિયલ પૂછપરછ ની જરૂર નથી. તે તપાસમાં સહકાર આપવા તૈયાર છે .પત્નીના આક્ષેપ મુજબ વર્ષ 2022 થી 2024 દરમિયાન બનાવ બન્યો હતો અને ઓક્ટોબર, 2025 માં ફરિયાદ નોંધવામાં આવી હતી, આ એક પારિવારિક વિવાદ છે. પતિના પહેલી પત્ની પાસેથી વર્ષ 2020 માં છૂટાછેડા થયા હતા. ઘટનાના દોઢ વર્ષ પછી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોર્ટને જણાવાયું હતું કે પહેલા લગ્નથી પતિને ત્રણ સંતાન છે. પતિ ગુરુગ્રામમાં ગેસ્ટ હાઉસનો ખૂબ મોટો ધંધો ધરાવે છે. વોટ્સએપમાં પત્ની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હોવાનો પણ પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ છે. પહેલી પત્નીએ પણ પતિ ઉપર સમાન પ્રકારના આક્ષેપ કર્યા હતા. પરંતુ પતિએ બીજી પત્ની સાથે પણ છૂટાછેડાની અરજી કરતા, તેને આ પ્રકારના આક્ષેપો કર્યા છે. તેમ છતાં પતિ તપાસમાં સહકાર આપી રહ્યો છે અને આગળ પણ સહકાર આપવા તૈયાર છે. પત્નીના ગંભીર આક્ષેપો બાદ હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવીહાઇકોર્ટ નોધ્યું હતું કે પતિ સામે ગંભીર પ્રકારના આક્ષેપો છે. પહેલી પત્ની પણ તેની સામે આવા પ્રકારના આક્ષેપો કર્યા હતા. ત્યારે પતિની કસ્ટડીમાં પૂછ પરછની જરૂર હોવાથી તેને આગોતરા જામીન આપી શકાય નહીં.
દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રક્ષા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ભવ્ય સૈન્ય બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમો ભારતીય સશસ્ત્ર દળો એવા આર્મી, નેવી, એરફોર્સ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) તથા કેન્દ્રીય અર્ધસૈન્ય દળો (CAPFs)ના સંકલનથી યોજાશે. રક્ષા મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર આ બેન્ડ પ્રદર્શન 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરનું સ્મરણ કરવો તેમજ રાષ્ટ્રપ્રેમ, એકતા, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમના મૂલ્યોને ઉજાગર કરવાનો છે. જે અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 19થી 25 જાન્યુઆરી દરમિયાન વિશેષ સૈન્ય બેન્ડ કાર્યક્રમ યોજાશે. આ સૈન્ય બેન્ડ પ્રદર્શન માત્ર સંગીત કાર્યક્રમ નહીં પરંતુ દેશની સશસ્ત્ર દળોની શિસ્ત, સંગઠન શક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનો જીવંત પરિચય છે, જે નાગરિકોમાં દેશ પ્રત્યે ગૌરવની લાગણી જન્માવે છે. આ ઐતિહાસિક અને રાષ્ટ્રપ્રેરક પ્રસંગે વધુમાં વધુ નાગરિકો પરિવાર સાથે આ સૈન્ય બેન્ડ પ્રદર્શનને અવશ્ય મુલાકાત લે, દેશભક્તિના સંગીતમાં તરબોળ બને અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને સ્મરણિય બનાવે એવી અપીલ કરવામાં આવે છે. અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ રાજ્યના આઇકોનિક સ્થળ તરીકે ઊભરી આવ્યો છે. રિવરફ્રન્ટ બનતાં તેના પર એક પછી એક નવાં નવાં આકર્ષણો ઉમેરાયાં છે. રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનું હબ બનતું જાય છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આઇકોનિક અટલ બ્રિજ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. રિવરફ્રન્ટમાં એક તરફ સુંદર બાગ-બગીચા નિર્માણ પામ્યા છે તો બીજી તરફ સ્પોર્ટ્સ સંકુલ પણ વિકસ્યાં છે. રિવરફ્રન્ટ પર યોજાતો ફ્લાવર શૉ હોય, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, ડ્રોન શૉ, મેરેથોન દોડ હોય કે સાઇકલિંગ રિવરફ્રન્ટ અબાલ-વૃદ્ધ સૌ માટે એક જાણીતું-માનીતું સ્થળ બની ચૂક્યું છે.
ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના મધ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે આજે નવસારી જિલ્લામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે, જ્યાં લઘુત્તમ તાપમાન 11.0C પર પહોંચી ગયો છે. ઉત્તર ભારતના પવનોની અસરને કારણે રાજ્યભરમાં વહેલી સવારે અને મોડી રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, આજે મહત્તમ તાપમાન 29.5C નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 88% જેટલું ઊંચું રહેતા ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. જોકે, સાંજ પડતા ભેજનું પ્રમાણ ઘટીને 35% પર આવી ગયું હતું. પવનની ગતિ 2.6 કિમી/કલાક જેટલી ધીમી હોવા છતાં, લઘુત્તમ તાપમાન નીચું જવાને કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. દિવસભર વાતાવરણમાં ઠંડક રહેતા લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડો.ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્ય ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગ્રંથાવલીના ભાગ 1થી 15 ગ્રંથોનું વિમોચન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરાયું હતું. આ ગ્રંથ વિમોચન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારણી સદસ્ય સુરેશ જી સોની હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, અખંડાનંદ જે વર્ષોથી મૃતપ્રાય હાલતમાં હતું તે હવે પુનર્જીવિત થયું છે અને આગામી 50 વર્ષ સુધી આ પ્રકાશિત થશે તેના માટે અમે અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટી ગણો પણ મહેનત કરશે તેમ તેમણે જણાવ્યું હતું. આદિ શંકરાચાર્યના ગ્રંથ વિમોચનનો કાર્યક્રમ આજના પાલડી ટાગોર હોલમાં યોજાયો હતો. જેમાં આખો હોલ ખીચો ખીચ ભરાઈ ગયો હતો. ભાજપના કેટલા કોર્પોરેટરો બેસવાની પણ જગ્યા મળી નહોતી. બહારના ભાગે LED સ્ક્રીન લગાવવામાં આવી હતી ત્યાં કેટલાક લોકોને બેસવું પડ્યું હતું. સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આદિ શંકરાચાર્ય ગ્રંથ વિમોચન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ગુજરાતના લોકો ખૂબ જ માટે મહત્વનું છે. કૌટિલ્ય રચિત ગ્રંથ પણ મેં પણ વાચ્યું હતું. આદિ શંકરાચાર્ય વિશે વાતચીત કરતા જુના સંસ્મરણ યાદ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ કહ્યું હતું કે આજે પણ મને મારા દાદાએ કીધેલું એક વાક્ય યાદ છે કે અખંડાનંદ તું પણ વાંચજે અને તારા પૌત્રને પણ વંચાવજો જેનાથી ઘરમાં શુભ થશે. વધુ વાત કરતાં કહ્યું હતું કે. હું મારી પૌત્રીને આદિશંકરની વાત કહી રહ્યો હતો ત્યારે તેણે એકદમ ઉત્સાહથી પૂછ્યું કે દાદા હમણાં તમે કહેતા હતા કે આટલા વર્ષ પહેલા શંકર થઈ ગયા અને હમણાં કુંભમાં શંકરાચાર્યને પગે લાગ્યા તો સહજતાથી પૂછ્યું કે કોઈ આટલા કેવી રીતે જીવી શકે?? ત્યારે બાળકીને ખબર નથી કે આદિ શંકરે જે પરંપરા બનાવી છે જે યુગો યુગો સુધી સનાતનની સેવા કરી શકે એવી બનાવી છે. આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાઓ માટે આંગળીના ટેરવે મળતું થયું છે, સસ્તું સાહિત્ય દ્વારા ‘આદિ શંકર સમગ્ર’ ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સાહિત્ય માટે મોટી ઘટના છે. 117 વર્ષ જૂની સ્વામી અખંડાનંદની સંસ્થા ‘સસ્તું સાહિત્ય’ ફરી બેઠી થઈ છે. આગામી 50 વર્ષ સુધી ઉત્કૃષ્ટ સાહિત્ય પીરસતી રહેશે. આ માટે ગૌતમભાઈ પટેલે આદિ શંકરના જ્ઞાનસાગરને ગુજરાતીમાં ઉતારીને ગુજરાતના વાચકો પર મોટું ઋણ ચડાવ્યું છે. આદિ શંકરાચાર્ય સનાતન ધર્મના પુનરુદ્ધારક છે, તેમ જણાવી શાહે કહ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું 32 વર્ષનું ટૂંકું આયુષ્ય શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. તેમણે માત્ર 8 વર્ષની ઉંમરે વેદોનો અભ્યાસ પૂર્ણ કર્યો અને 12 વર્ષની ઉંમરે શાસ્ત્રજ્ઞ બની ગયા હતા. તેમણે ભારતની ચાર દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરીને માત્ર ધાર્મિક કેન્દ્રો જ નહીં, પરંતુ વેદ-ઉપનિષદોના સંરક્ષણ માટેના વિશ્વવિદ્યાલયો ઊભાં કર્યાં. આજે આપણે ગંગા, યમુના કે નર્મદાની જે પૂજા પદ્ધતિ અને શ્લોકો બોલીએ છીએ, તેના રચયિતા આદિ શંકરાચાર્ય છે. ગૌતમભાઈ પટેલના પુરુષાર્થની પ્રશંસા કરતા તેઓએ જણાવ્યું હતું કે સંસ્કૃતમાં રહેલો આદિ શંકરનો જ્ઞાનસાગર હવે માતૃભાષા ગુજરાતીમાં ઉપલબ્ધ થયો છે, જે ગુજરાતની નવી પેઢી માટે મોટી ઘટના છે. તેમણે ખાસ કરીને યુવાનોને ‘વિવેક ચૂડામણિ’ અને ‘ભજ ગોવિંદમ’ જેવા ગ્રંથો વાંચવા આગ્રહ કર્યો હતો સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારાં 50 વર્ષોમાં જ્યારે સાહિત્યની ચર્ચા થશે, ત્યારે આ ગ્રંથાવલીના પ્રકાશનને સુવર્ણ અક્ષરે યાદ કરવામાં આવશે. સ્વામી અખંડાનંદજી દ્વારા 117 વર્ષ પહેલાં સ્થાપિત સસ્તું સાહિત્ય સંસ્થા વિશે વાત કરતા ભાવુકતા સાથે જણાવ્યું કે, મારા દાદા કહેતા કે અખંડાનંદનું સાહિત્ય વાંચજો, તેનાથી ઘરમાં શુભ આવશે. તેમણે ખાતરી આપી હતી કે જે સંસ્થા એક સમયે મૃતઃપ્રાય સ્થિતિમાં હતી, તેને ફરી જીવંત કરવામાં આવી છે. માર્ચ 2025માં જ ટ્રસ્ટ દ્વારા ૨૪ જૂના પુસ્તકોની નવી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે, જેને વાચકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સંઘના અગ્રણી સુરેશ સોની અને સંપાદક ગૌતમભાઈ પટેલના યોગદાનને વર્ણવતા તેમણે કહ્યું કે, આ ભગીરથ કાર્ય પાછળ શ્રી સુરેશ સોનીજીના માર્ગદર્શન અને સતત ફોલોઅપને આભારી છે, સાથે તેમણે ગૌતમભાઈ પટેલને સંસ્કૃત સેવા માટે સમર્પિત વ્યક્તિત્વ ગણાવ્યા હતા. લાઇબ્રેરી સાથે જોડાયેલા લોકોને અને સાહિત્ય પ્રેમીઓને વિનંતી કરી હતી કે, આ સરળ ગુજરાતી અનુવાદ વધુમાં વધુ યુવાનો અને કિશોરો સુધી પહોંચે, જેથી તેમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય તે માટે અપીલ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ સોનીએ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું સમગ્ર વાંગ્મય સંસ્કૃતમાં તો ઉપલબ્ધ હતું, પરંતુ ભારતીય ભાષાઓના ઇતિહાસમાં આ પ્રથમ છે, જ્યારે લોકભાષામાં અને ખાસ કરીને ગુજરાતીમાં આટલી વિશાળ ગ્રંથાવલીનું ભાષાંતર થઈને જનતા સમક્ષ આવ્યું છે. તેમણે સસ્તું સાહિત્ય વર્ધક ટ્રસ્ટ અને ડૉ. ગૌતમ પટેલના અથાગ પરિશ્રમને બિરદાવતા કહ્યું કે, ભિક્ષુ અખંડાનંદજીની જે જ્ઞાન પ્રસારની પરંપરા હતી, તેમાં આ 15 ગ્રંથોનું પ્રકાશન એક સુવર્ણ અધ્યાય સમાન છે, જે જનસામાન્ય માટે જ્ઞાનના દ્વાર ખોલશે. આદિ શંકરાચાર્યના જીવન અને કાર્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, માત્ર 32 વર્ષના અલ્પ આયુષ્યમાં તેમણે સમગ્ર ભારતની પરિક્રમા કરી જે સાંસ્કૃતિક એકતાનું અદ્ભુત ઉદાહરણ છે. જ્યારે દેશમાં સંવાદનાં સાધનો નહોતાં, ત્યારે પહાડો અને નદીઓ ઓળંગીને ચારેય દિશાઓમાં પીઠની સ્થાપના કરવી એ સાબિત કરે છે કે તેમની દૃષ્ટિમાં અખંડ ભારતનો વિચાર હજાર વર્ષ પહેલાં પણ જીવંત હતો તેમ જણાવી તેમણે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે કરેલાં કાર્યો આજે પણ આપણને રાષ્ટ્રીય એકતાની પ્રેરણા આપે છે, તેવું કહ્યું હતું. તેમણે આ પ્રસંગે શંકરાચાર્યના અદ્વૈત સિદ્ધાંતને માત્ર દાર્શનિક ચર્ચા નહીં પણ જીવન પદ્ધતિ ગણાવી હતી. તેઓએ પૂર્વ અણુ આયોગના અધ્યક્ષ રાજા રમન્નાના લેખનો ઉલ્લેખ કરતા સમજાવ્યું કે, વિજ્ઞાન જ્યારે પદાર્થની અંતિમ અવસ્થા શોધવા નીકળે છે ત્યારે તે ઊર્જા અને શક્તિ સુધી પહોંચે છે, પરંતુ આ જ 'એકત્વ'નો વિચાર શંકરાચાર્યએ સદીઓ પહેલા બ્રહ્મના રૂપમાં આપ્યો હતો. જ્યારે આધુનિક વિજ્ઞાન પોતાની મર્યાદાઓ સુધી પહોંચશે, ત્યારે તેને આદિ શંકરાચાર્યના 'પ્રજ્ઞા સાહિત્ય'ની શરણમાં આવવું પડશે કારણ કે તે ત્રિકાળજ્ઞાની છે. વર્તમાન સમયના સંઘર્ષોની સમસ્યાઓનું નિરાકરણ શંકરાચાર્યના અદ્વૈત દર્શનમાં છુપાયેલું છે. 'યુનિટી ઇન ડાયવર્સિટી' (વિવિધતામાં એકતા)ના બદલે 'યુનિટી મેનિફેસ્ટેડ ઇન ડાયવર્સિટી' (એકતા જ વિવિધતામાં પ્રગટ થાય છે) નો વિચાર અપનાવવાની જરૂર છે. તેમણે ચાર સૂત્રો આપ્યા: રૂપ અનેક-ઈશ્વર એક, પંથ અનેક-ગંતવ્ય એક, ભાષા અનેક-ભાવ એક અને વ્યવસ્થા અનેક-ધારણા એક. જો આ દૃષ્ટિકોણ કેળવવામાં આવે તો ભાષા, પૂજા પદ્ધતિ અને સામાજિક ભેદભાવોના વિવાદો આપોઆપ શમી જશે. આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીના ભાગ 1થી 15 ગ્રંથોનું વિમોચનના સંપાદક ગૌતમ પટેલે તેમના મંતવ્યો જણાવ્યાં હતાં. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યમંત્રી દર્શના વાઘેલા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, હર્ષદ શાહ, પરેશભાઈ અમીન, પ્રકાશભાઈ લાલા સહિત ટ્રસ્ટીગણ, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો, અગ્રણી પદાધિકારીઓ, સાહિત્ય રસિકો તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકામાં દ્વારકા અને બેટ દ્વારકાને જોડાતા સુદર્શન સેતુ પર લોકો આવર-નવાર સ્ટંટ કરીને રીલ બનાવતા જોવા મળે છે, જો કે આ તમામ લોકો પોલીસના હાથે ઝડપાઈ જાય છે અને પોલીસ કાર્યવાહી કરે છે. દ્વારકાના સુદર્શન સેતુ પર ભાવનગરના એક પ્રવાસીને રીલ બનાવવી ભારે પડી છે. પુત્રીને બોનેટ પર બેસાડી કાર ચલાવી બનાવનાર ભાવનગરના આ પ્રવાસી સામે ઓખા મરીન પોલીસે કાર્યવાહી કરીને કાર જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ ભાવનગરના ગીરીશ વીરાભાઈ પરમાર દ્વારા આ રીલ બનાવવામાં આવી હતી. રીલ દરમિયાન ગીરીશ પરમાર કાર ચલાવતા હતા અને તેમની પુત્રી જોખમી રીતે કારના બોનેટ પર બેસેલી હતી. ઓખા મરીન પોલીસને આ અંગેની માહિતી મળતા પી.એસ.આઈ. આર.આર.ઝરૂ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર વિસ્તારમાં રહેતા ગીરીશ વીરાભાઈ પરમાર દ્વારા આ રીલ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી વાહન જપ્તી સહિતની કામગીરી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે વાહન ચાલકોને નિયમોનું ઉલ્લંઘન ન કરવા અને આવા ભયજનક સ્ટંટ ન કરવા અપીલ કરી છે. 8 દિવસ પહેલા પંચમહાલના યુવકની સ્કોર્પિયો કાર જપ્ત કરાઈ હતી 8 દિવસ પહેલા 7 જાન્યુઆરીએ દ્વારકાના સુદર્શન સેતુ પર સ્ટંટ કરી રીલ બનાવવાની ઘટનામાં પંચમહાલના યુવકની બોલેરો કાર જપ્ત કરાઈ હતી. સુદર્શન સેતુ પર થોડા દિવસો પૂર્વે એક બ્લેક કલરની સ્કોર્પિયો મોટરકાર દ્વારા ભયજનક સ્ટંટ કરવામાં આવ્યો હતો. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ઓખા મરીન પોલીસના ધ્યાને આવતા, GJ-17-CE-2248 નંબરની સ્કોર્પિયો મોટરકારની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કારનો માલિક પંચમહાલ વિસ્તારનો છે, જેથી ઓખા પોલીસે પંચમહાલ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કાર ચાલક કૌશિક મોહનભાઈ બારીયા નામના શખ્સની ઓળખ થઈ હતી. પોલીસે તેનું વાહન ડિટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી હતી.
SOG પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. ગામીત અને સબ ઇન્સ્પેક્ટર એ.એ. વ્યાસની ટીમને બાતમી મળી હતી કે, સરખેજ વિસ્તારમાં બે યુવક ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સરખેજમાંથી નાસર ઉર્ફે નાસીર અને સલીમ સુમરા નામના બે યુવકને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો તેમજ અન્ય સામગ્રી મળી આવી હતી, જેને કબજે કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળપ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને યુવકો સ્થાનિક સ્તરે ગાંજાની સપ્લાય કરતા હતા. શહેરમાં હાઇબ્રીડ ગાંજાની માંગ વધતા આવા કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો, તેની સપ્લાય ચેન કોણ સંભાળતું હતું અને આ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પ્રોહિબિશન એક્ટના કડક અમલીકરણના ભાગરૂપે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામે એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. તારીખ 14 અને 15/01/2026 ના રોજ હાથ ધરવામાં આવેલા આ દરોડામાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે લાખોની મત્તા જપ્ત કરવામાં આવી છે. SMCની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ઉમરેઠ તાલુકાના ઓડ ગામથી રુપેણ તલાવડી જવાના માર્ગ પર આવેલા હિતેશભાઈ પટેલના ફાર્મહાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ફાર્મહાઉસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની કુલ 16139 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹ 43,45,215/- જેટલી થાય છે. આ જથ્થો મધ્યપ્રદેશની વિવિધ ડિસ્ટિલરીઓમાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે સ્થળ પરથી 06 વાહનો (કિંમત ₹ 29,55,000/-), દારૂ છુપાવવા માટે વપરાતી 80 ડુંગળીની ગુણીઓ (કિંમત ₹ 1,00,000/-), 04 મોબાઈલ ફોન (કિંમત ₹ 20,000/-) અને રોકડ રકમ ₹ 3300/- જપ્ત કરી છે. આમ, કુલ ₹ 74,23,515/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી પાંચ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી વિનોદકુમાર ઉર્ફે વિનુ રતિલાલ માલી (સાવલી, વડોદરા) અને આઈશર ટ્રકનો ચાલક ભરત જગદીશ કહર (ઉજ્જૈન, MP) સામેલ છે. અન્ય ઝડપાયેલા આરોપીઓમાં રાજુભાઈ વાઘરી, મનુભાઈ ઠાકોર અને ગોપાલ મારવાડીનો સમાવેશ થાય છે. આ રેડ દરમિયાન અન્ય 06 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. જેમાં મુખ્ય સપ્લાયર રમેશ ગણા વણકર (ગોધરા) અને તેનો ભાગીદાર રાહુલ (મહારાષ્ટ્ર), તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અવનીશ ઉર્ફે રોહિત ત્રિપાઠી (વડોદરા), દિલીપ રાજુ માલી (સાવલી), વિનુ મંગળ ઠાકોર અને કાનુ રવજી તલપદાનો સમાવેશ થાય છે. SMC ના PSI ડી. એ. તુવરના માર્ગદર્શન હેઠળ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો અને ભારતીય ન્યાય સંહિતા -2023 (BNS) ની કલમ 111(2)(B), 111(3) અને 111(4) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરોડાએ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીના કારણે પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે શહેરના નિકોલ વિસ્તારમાં દાસ ખમણ રોડ પર મોબાઈલ ટાવરની ઉપર પતંગના દોરામાં સમડી ફસાઈ ગઈ હતી. સમડીનો જીવ બચાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ક્રેન મોકલવામાં આવી હતી. પાંચ માળ ઉંચી બિલ્ડીંગ જેટલા મોબાઈલ ટાવર પરથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમડીને ફસાયેલા દોરામાંથી બહાર કાઢવામાં આવી હતી અને આકાશમાં મુક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પતંગની દોરીઓમાં પક્ષીઓ ફસાઈ જતા હોવાના કારણે ઇજાગ્રસ્ત થાય છે. પક્ષી પ્રેમીઓ અને સ્થાનિક લોકો દ્વારા પક્ષીઓને બચાવવા ફાયર બ્રિગેડ અને પક્ષી પ્રેમીઓની મદદ લેવામાં આવતી હોય છે. નિકોલમાં મોબાઈલ ટાવર પર દોરીમાં પક્ષી ફસાયુંઆજે 15 જાન્યુઆરીના રોજ શહેરના નિકોલ વિસ્તારમાં દાસ ખમણ રોડ ઉપર એક સમડી મોબાઈલ ટાવર ઉપર ફસાઈ ગઈ હતી, ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકો દ્વારા પક્ષીને ફસાયેલું જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો હતો. નિકોલ ફાયર સ્ટેશનની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સમડી મોબાઇલ ટાવર પર એક દોરામાં ફસાયેલી હતી જેને ઉતારવા માટે હાઇડ્રોલિક ક્રેનની મદદ લેવી પડે તેની જરૂરિયાત હતી. ફાયર બ્રિગેડે હાઇડ્રોલિકની મદદથી જીવ બચાવ્યોનિકોલ ફાયર સ્ટેશનથી ઉંચી ઇમારતો ઉપર ફસાયેલા લોકોને બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હાઇડ્રોલિક સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના ત્રણ કર્મચારીઓ સીડી વડે ઉપર ગયા હતા અને ત્યારબાદ ત્યાં પહોંચી અને પતંગના દોરામાં ફસાયેલી સમડીને બહાર કાઢી આકાશમાં ઉડાડી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પતંગના દોરાના કારણે ફસાયેલા પક્ષીનો જીવ બચાવી લીધો હતો. બે દિવસમાં ફાયર બ્રિગેડે 34 પક્ષીના જીવ બચાવ્યાઅમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા 14 જાન્યુઆરીના રોજ ફાયર બ્રિગેડને 19 જેટલા કોલ મળ્યા હતા. જ્યારે 15 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં 15 જેટલા કોલ મળ્યા હતા. આમ બે દિવસમાં કુલ 34 જેટલા પક્ષીઓના બચાવ કોલ મળ્યા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા તમામ પક્ષીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો. ગોમતીપુર, જમાલપુર, બેહરામપુરા સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડને પક્ષી બચાવવાના કોલ મળ્યા હતા.
સુરત શહેરમાં મકરસંક્રાંતિના તહેવાર વચ્ચે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો માટે પતંગની દોરી કાળમુખી સાબિત થઈ છે. સચિન વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવક પ્રિન્સ મંગલ બાથમનું પતંગની દોરી ગળામાં વાગવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સુરતના સચિન વિસ્તારમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા 16 વર્ષીય કિશોરીનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે પતંગની દોરી આવતા બાઈક સવાર પરિવાર બ્રિજ પરથી 70 ફૂટ નીચે ફટકાતા એક જ પરિવારના ત્રણ સભ્યોનું મોત થયું હતું. ઉતરાયણ પર્વના છેલ્લા 24 કલાકમાં પતંગ ના કારણે પાંચ લોકોના મોત થયા છે. લાલ ઘોડા સર્કલ પાસે પતંગની દોરી ગળામાં ફસાતા યુવકનું મોતતલંગપુરની ઓમ સાઈ નગર સોસાયટીમાં રહેતો પ્રિન્સ ગઇકાલે સાંજના સમયે પોતાની મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન લાલ ઘોડા સર્કલથી શ્યામ મંદિર વચ્ચે અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તેનો ભાઈ સાહિલ તાત્કાલિક તેને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટર નીલમે તપાસ બાદ પ્રિન્સને મૃત જાહેર કર્યો હતો. હાલ મૃતદેહને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ મામલે એ.એસ.આઈ. સહદેવદાન વિજયદાન દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉતરાયણના દિવસે જ યુવાન પુત્રના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા 16 વર્ષીય કિશોરીનું મોતસુરતના સચિન વિસ્તારમાં આવેલી જય રાધે સોસાયટીમાં આજે શોકનો માહોલ છવાયો હતો. સોસાયટીમાં રહેતી મંટુ નામની 16 વર્ષીય કિશોરી પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહી હતી. પતંગ ચગાવવાના ઉત્સાહમાં તેને અંદાજ રહ્યો નહોતો અને અચાનક સંતુલન ગુમાવતા તે ધાબા પરથી સીધી નીચે પટકાઈ હતી. કિશોરી નીચે પટકાતા જ મોટો અવાજ થયો હતો, જેને પગલે સોસાયટીના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલી કિશોરી લોહીલુહાણ હાલતમાં હોવાથી તેને વિલંબ કર્યા વગર સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કરીસિવિલ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ કિશોરીની તપાસ કરી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કિશોરીએ દમ તોડી દીધો હતો, જેના કારણે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમાચાર સાંભળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કિશોરીના અકાળે અવસાનથી પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે. 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પટકાતા એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતઉત્તરાયણના પર્વે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક પરિવાર 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી અને દોરી હટાવવા જતા તેઓ સંતુલન ગુમાવી દીધા અને પુલથી 70 ફૂટ નીચે પડી ગયા. 10 વર્ષની પુત્રી, 35 વર્ષીય પિતા અને 33 વર્ષીય માતાનું મૃત્યુ થયું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, પરંતુ આ આનંદની પાછળ અબોલ પક્ષીઓ માટે આ તહેવાર કાળ સાબિત થયો છે. પતંગના કાતિલ માંજાના કારણે આકાશમાં વિહાર કરતા સેંકડો પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે અને અનેક પક્ષીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 95 અબોલ પક્ષીઓએ જીવ ગુમાવ્યારાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા 'કરુણા અભિયાન' અંતર્ગત સુરતમાં અત્યાર સુધીમાં કુલ 825 પક્ષીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અત્યંત દુઃખદ બાબત એ છે કે, આ જીવલેણ દોરીના કારણે ઉત્તરાયણના પર્વ દરમિયાન સુરતમાં 95 અબોલ પક્ષીએ જીવ ગુમાવ્યા છે. સારવાર માટે હાઈટેક સુવિધા સાથે ઓપરેશન થિયેટર કાર્યરતઅબોલ જીવોને ત્વરિત અને સચોટ સારવાર મળી રહે તે માટે શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખાસ મોબાઈલ અને સ્ટેશનરી ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યા છે. પ્રેમાળ જીવદયા સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 180થી વધુ પક્ષીઓનો જીવ બચાવવામાં આવ્યો છે. બચાવવામાં આવેલા પક્ષીઓમાં મુખ્યત્વે કબૂતરો, 2 બગલા અને 2 કાગડાઓનો સમાવેશ થાય છે. 14 કરતા 15 તારીખે કેસમાં વધારોચિંતાજનક બાબત એ છે કે, મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી) કરતા તેના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણ (15 જાન્યુઆરી)ના દિવસે ઈજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મોટાભાગના કિસ્સાઓમાં પક્ષીઓની પાંખો કપાઈ જવાના ગંભીર બનાવો સામે આવ્યા છે, જે તેમને કાયમ માટે અપંગ બનાવી શકે છે. ચાઈનીઝ દોરીનો કહેરથી ડોક્ટરોની ચેતવણીરેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા ડોક્ટરો અને સેવાભાવી કાર્યકર્તાઓ પક્ષીઓનો જીવ બચાવવા માટે આખી રાત જાગીને સેવા આપી રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન પક્ષીઓના શરીરમાંથી, ખાસ કરીને પાંખ અને પગના ભાગેથી ચાઈનીઝ દોરીના ટુકડાઓ મળી રહ્યા છે. પ્રતિબંધ હોવા છતાં ચાઈના દોરીનો ઉપયોગ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
ભાવનગર જિલ્લાના નાગરિકો માટે રેલવે કનેક્ટિવિટીના પ્રશ્નોને લઈને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે મુખ્યત્વે ભાવનગરથી દિલ્હી વચ્ચે સીધી ટ્રેન શરૂ કરવાની અને રેલવે ટર્મિનલના આધુનિકીકરણની માંગણી દોહરાવી છે. દિલ્હી માટે સીધી ટ્રેનની જરૂરિયાત હાલમાં ભાવનગરથી દિલ્હી જવા માટે કોઈ સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. અગાઉ શરૂ કરાયેલી સકુરબસ્તી (દિલ્હી) TOD (ટ્રાયલ ઓન ડિમાન્ડ) ટ્રેન પણ અજ્ઞાત કારણોસર બંધ કરી દેવામાં આવી છે. સાંસદ ગોહિલે પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે દોડતી ટ્રેન (ફૂલ રેક) અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ ચાલે છે અને બાકીના 4 દિવસ આ ટ્રેન સાવ ફ્રી પડી રહે છે. આ જ રેકનો ઉપયોગ કરીને અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 દિવસ ભાવનગરથી દિલ્હી માટે સીધી ટ્રેન દોડાવવી જોઈએ, જેથી મુસાફરોને મોટી રાહત મળે. ટ્રેનોનું અપગ્રેડેશન અને સુવિધાઓ ભાવનગરથી વેરાવળ અને પોરબંદર વચ્ચે ચાલતી ટ્રેનો લાંબુ અંતર કાપતી હોવાથી તેને 'એક્સપ્રેસ'માં અપગ્રેડ કરવાની જરૂરિયાત છે. આ ટ્રેનોમાં 1 વધારાનો AC ચેર કાર કોચ જોડવા પણ માંગ કરવામાં આવી છે, જેથી વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોને આરામદાયક મુસાફરી મળી શકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ ભાવનગર ટર્મિનસ પર ટ્રેનોના ઇન્સ્પેક્શન અને સફાઈ માટે હાલમાં માત્ર 2 પીટ લાઈન છે, જે અપૂરતી છે. રેલવે મંત્રીને કરેલી રજૂઆતમાં 2 નવી પીટ લાઈન અને શન્ટિંગ માટે 4 નવા ટ્રેક બનાવવાની માંગ કરાઈ છે. આ માટે રેલવે પાસે પૂરતી જમીન પણ ઉપલબ્ધ છે. પર્યટન અને આર્થિક મહત્વ ભાવનગર જિલ્લામાં એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ (અલંગ), પાલીતાણા જૈન તીર્થ, બગદાણા અને તલગાજરડા જેવા પ્રસિદ્ધ આશ્રમો આવેલા છે. હવાઈ સેવાઓ બંધ હોવાને કારણે અહીં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે દિલ્હી સાથેની સીધી રેલવે સેવા અનિવાર્ય બની છે.
ભરૂચ 181 અભયમ હેલ્પલાઇન: 4553 મહિલાને મદદ:ઘરેલુ હિંસા સહિતના કેસોમાં અસરકારક કામગીરી કરી
ભરૂચ જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાઓ માટે આશાનું કેન્દ્ર બની છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત આ હેલ્પલાઇને છેલ્લા એક વર્ષમાં 4553 જરૂરિયાતમંદ મહિલાઓને મદદ પૂરી પાડી છે. આ સમયગાળા દરમિયાન, ભરૂચ જિલ્લામાંથી કુલ 4553 કોલ પ્રાપ્ત થયા હતા. તેમાંથી 731 કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આ પૈકી 553 કેસમાં સફળ સમાધાન થયું હતું, જ્યારે 111 કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ સરકારી એજન્સીઓમાં રિફર કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલા કોલોમાં મુખ્યત્વે ઘરેલુ હિંસાના 2302 કેસ, શારીરિક-માનસિક-જાતીય હેરાનગતિના 748 કેસ, લગ્નજીવનના વિખવાદોના 372 કેસ, કસ્ટડીના 81 કેસ અને કાયદાકીય માર્ગદર્શનના 64 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બિનજરૂરી કોલ-મેસેજથી હેરાનગતિના 55 કેસ પણ નોંધાયા હતા. મહિલાઓએ સામાન્ય માહિતી અને મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન મેળવ્યું હતું. વર્ષ દરમિયાન, અભયમ ટીમે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓએસસી તેમજ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી અસરકારક કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને બચાવ કાર્ય કર્યું છે. આ પ્રયાસો દ્વારા મહિલાઓની સલામતી, શાંતિ અને પારિવારિક સુલેહ માટે નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં 'વાઇબ્રન્ટ ગુજરાત'ના જે બીજ રોપ્યા હતા. જે આજે એક વટવૃક્ષ બનીને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યું છે. PM ના'આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત@2047'ના વિઝનને ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજકોટ ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ રાજ્યની ટેકનિકલ ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. જે સિસ્ટમથી એકસીડન્ટ થયા બાદ 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વાહન ચાલકો સાવચેત થશે અને તેથી ચેઇન અકસ્માત નહીં થાય. રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા આઈટીઆઈના તાલીમાર્થીઓને આધુનિક સંસાધનો પૂરા પાડવામાં આવતા હોવાથી આજે રાજ્યના યુવાનો સમાજની જટિલ સમસ્યાઓના સ્માર્ટ ઉકેલો લાવી રહ્યા છે. સુરેન્દ્રનગરના તાલીમાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ માર્ગ અકસ્માત સમયે ગોલ્ડન અવરમાં મદદ પહોંચાડવા અને ધુમ્મસ જેવા કારણોસર થતા ચેઈન અકસ્માતો રોકવામાં પાયારૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપતા સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર દિવ્યાંગ શાહે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત સમયે ઘણીવાર ધુમ્મસ કે ઓછા પ્રકાશને કારણે 'ચેઈન ઓફ એક્સિડન્ટ્સ' સર્જાતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે તૈયાર કરાયેલી આ સિસ્ટમ અકસ્માત થતાની સાથે જ 5 કિમીની ત્રિજ્યામાં આવતા અન્ય વાહનોને ત્વરિત એલર્ટ મોકલે છે. જેથી પાછળ આવતા વાહનો સમયસર પોતાની ગતિ ધીમી કરી શકે અને સંભવિત ટક્કરને ટાળી શકાય. આ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ચૂક્યો છે. આ પ્રોજેક્ટની સૌથી મહત્વની વિશેષતા તેની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ છે. અકસ્માત સર્જાતા જ આ સિસ્ટમ અદ્યતન સેન્સર્સ અને GPS લોકેશનની મદદથી નજીકના પોલીસ સ્ટેશન, 108 હોસ્પિટલ સેવા અને વાહન ચાલકના પરિવારજનોને ઓટોમેટિક મેસેજ મોકલી દે છે. સમયસર મળેલી આ જાણકારીથી ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં જ તબીબી સારવાર મળી રહે છે. જે હજારો માનવ જિંદગીઓ બચાવવામાં પાયારૂપ સાબિત થઈ શકે છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં ડી.એમ. ચુડાસમા, એન.એમ. બેલીમ અને તેમની સમગ્ર ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે. આઈટીઆઈના યુવા તાલીમાર્થીઓની આ ટેકનિકલ કુશળતાથી પ્રભાવિત થઈને શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રોજેક્ટનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું. તેમણે આ ટીમને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કરી વ્યક્તિગત અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન જે રીતે યુવાશક્તિને દેશના વિકાસનું એન્જિન માને છે તે જ દિશામાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના આઈટીઆઈના વિદ્યાર્થીઓ ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યા છે. ગુજરાત સરકાર રાજ્યના યુવાનોમાં રહેલી નવીનતા અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે અને આવા પ્રોજેક્ટ્સ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થશે. રાજકોટના આ પ્રાદેશિક પ્રદર્શનમાં 450થી વધુ સ્ટોલ્સ દ્વારા રાજ્યની ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરતા આ એક્ઝિબિશનમાં સ્થાનિક સ્ટાર્ટઅપ અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને ઉદ્યોગ જગત સાથે સીધું જોડાણ મળી રહ્યું છે.
સંખેડા પોલીસે હાંડોદ ચોકડી પાસેથી મારૂતિ બલેનો કારમાંથી રૂ. 2,93,992/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 5,93,992/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવતી રહી છે, ત્યારે સંખેડા પોલીસે વધુ એક દારૂની ખેપ પકડી પાડી છે. સંખેડા પોલીસને બાતમી મળી હતી કે, હાંડોદ ચોકડી તરફ એક મારૂતિ બલેનો કારમાં વિદેશી દારૂ ભરીને આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે હાંડોદ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની મારૂતિ બલેનો કાર નંબર GJ 06 PD 9672 આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, કાર ચાલકે ગાડી ભગાવી હતી અને આગળ જઈને ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે બલેનો ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1176 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,93,992/- છે. આમ, સંખેડા પોલીસે વિદેશી દારૂ અને મારૂતિ બલેનો ગાડી મળી કુલ રૂ. 5,93,992/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર પાણીની ટાંકી પર શ્રમિકે પતંગ ચગાવ્યો:GUDCની 20 લાખ લીટર ક્ષમતાની ટાંકી પર કામગીરી ચાલુ હતી
હિંમતનગરના ટાવર ચોક સ્થિત બગીચામાં GUDC દ્વારા નિર્મિત 20 લાખ લીટરની નવી ઓવરહેડ પાણીની ટાંકી પર એક શ્રમિક પતંગ ચગાવતો અને પકડતો જોવા મળ્યો હતો. આ ટાંકીનું કામ અંતિમ તબક્કામાં છે ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન આ ઘટના બની હતી, જેનાથી સુરક્ષા અને બેદરકારી અંગે સવાલો ઉભા થયા છે. આ પાણીની ટાંકી અમૃત યોજના 2.0 અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે. તેની ઊંચાઈ 25 મીટર છે અને તેમાં 20 લાખ લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. ટાંકીનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તેની અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ટાંકીના કારણે વિસ્તારમાં પાણીનો ફોર્સ વધશે અને તેનું લોકાર્પણ ટૂંક સમયમાં થવાનું છે. તેમણે શ્રમિક દ્વારા પતંગ ચગાવવા અને પકડવાની ઘટના અંગે તપાસ કરાવીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલા નટુભાઇ સર્કલ પાસે આવેલા મોલમાં આગની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ નીચે કોઈ કારમાં લાગ્યા બાદ ધીરે ધીમે ઉપર વધી હતી અને ત્યારબાદ મોલની દીવાલ પર લાગેલા હોર્ડિંગને કારણે આગ વધુ ફેલાઇ હતી. ફાયર બ્રિગેડની પાંચ ટીમોએ તાત્કાલિક કામગીરી કરીને આગને કાબૂમાં લીધી છે. અત્યાર સુધીમાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. કારમાં આગ લાગ્યા બાદ મોલમાં ફેલાઈસ્થાનિકોના જણાવ્યા મુજબ આ આગ સૌપ્રથમ મોલ પાસે પાર્ક કરેલી એક કારમાં આગ લાગી હતી. કારમાં બ્લાસ્ટ થતાં જ આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી અને તે મોલ તરફ ફેલાઇ ગઈ હતી. અહીંયા લાગેલી આગ પીઓપી જેવી જ્વલનશીલ વસ્તુઓને કારણે આગ વધુ પ્રસરી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. બાજુમાં આવેલો પેટ્રોલ પંપ બંધ હોવાની મોટી દુર્ઘટના ટળીઆ આગની ઘટના દરમ્યાન મોલની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે. વાસી ઉત્તરાયણ હોવાના કારણે પેટ્રોલ પંપ બંધ હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઇ છે. જો પંપ ખુલ્લો હોત તો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકતી હતી અને મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. હાલ તો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનામાં હાલ સુધીમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આ આગના બનાવને લઈ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે. આગમાં ચારથી પાંચ વાહનોને નુકસાન- ફાયર અધિકારીઆ અંગે ફાયર અધિકારી અમિત ચૌધરી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ થઈ નથી. આ આગની ઘટનામાં આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. આ ઘટનામાં ચારથી પાંચ વાહનોમાં નુકસાન થયું છે. હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે.
રાજકોટના વોર્ડ 3નાં અનેક વિસ્તારોમાં શનિવારને 17 જાન્યુઆરીએ પાણીકાપ મુકવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા શનિવારે રેલનગર હેડવર્કસ ખાતે હાથ ધરવામાં આવનાર ટેકનિકલ કામગીરી અને જાળવણીના ભાગરૂપે પાણીકાપ લાદવામાં આવ્યો છે. આ કામગીરીને લઈને વોર્ડ નંબર 3 (પાર્ટ)નાં જુદા-જુદા 30 જેટલા વિસ્તારમાં પાણી વિતરણ કરી શકાશે નહીં, જેને કારણે આ વોર્ડમાં રહેતા હજારો લોકો તરસ્યા રહેશે. સંપ સફાઈ અને પાઈપ રિપેરિંગની કામગીરીને લઈ નિર્ણયવોટર વર્ક્સ વિભાગના જણાવ્યા મુજબ, સેન્ટ્રલ ઝોન હસ્તકના રેલનગર હેડવર્કસમાં નવા બનાવવામાં આવેલા GSR (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર)ને જૂના GSR સાથે જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જોડાણની કામગીરી અત્યંત જરૂરી હોવાથી પમ્પિંગ સ્ટેશન ઉપર શટડાઉન લેવાની ફરજ પડી છે. સાથે આ સમયગાળા દરમિયાન સંપ સફાઈની કામગીરી તેમજ સંપની અંદર આવેલી પાઈપલાઈનના રિપેરિંગનું કામ પણ સાથે પૂર્ણ કરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપક મરામત અને જોડાણની કામગીરીને કારણે તારીખ 17 જાન્યુઆરીના રોજ રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં. 03 (પાર્ટ) ના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. લોર્ડ ક્રિષ્ના પાર્ક અને ઘનશ્યામ રેસીડેન્સીમાં પણ પાણી નહીં મળેઆ કામગીરીને કારણે જે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમાં રેલનગર-1, રેલનગર-2ની શેરી નં. 1થી 14, સંતોષીનગર, પોપટપરા વિસ્તાર, અમૃત રેસીડેન્સી, નારાયણ નગર, શક્તિ સોસાયટી, આસ્થા ચોક, અને સરદાર પટેલ સોસાયટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 53 ક્વાટર્સ, સૂર્યા પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધે પાર્ક, અર્પણા પાર્ક, શ્રીનાથજી પાર્ક, નાથદ્વારા સોસાયટી, રઘુનંદન સોસાયટી, સમર્પણ પાર્ક, અમરનાથ પાર્ક, શિવમ પાર્ક, મુરલીધર પાર્ક, લોર્ડ ક્રિષ્ના પાર્ક અને ઘનશ્યામ રેસીડેન્સીમાં પણ પાણી નહીં મળે. વોર્ડ નં.3નાં 30 કરતા વધુ વિસ્તારને પાણી નહિ મળેવધુમાં, રામેશ્વર પાર્ક શેરી નં.1થી 6, શિવ દ્રષ્ટિ, શીતલ પાર્ક 1 અને 2, સ્વામીનારાયણ રેસીડેન્સી, સદગુરૂ પાર્ક, મધુવન પાર્ક, રાધિકા રેસીડેન્સી, મોહન પાર્ક, પ્રમુખ સ્વામી સોસાયટી તેમજ છત્રપતિ શિવાજી, દયાનંદ સરસ્વતી, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, મહર્ષિ અરવિંદ, લાલબહાદુર શાસ્ત્રી, ડો. હેડગેવાર, ચંદ્રશેખર આઝાદ અને ભગિની નિવેદિતા સહિતની ટાઉનશીપમાં પાણી વિતરણ બંધ રહેશે. તો મિયાણાવાસ પોપટપરા, ગોદામ સામેના મફતિયાપરા, નાળા પાસેના સંતોષી મફતિયાપરા, સેન્ટ્રલ જેલ, સુંદરમ સિટી, સુંદરમ ગોલ્ડ, અતુલ્યમ ગ્રીન તથા ધ સ્પેસ બિલ્ડિંગ અને રત્નમ સ્કાય લાઇન (માધાપર ચોક) સુધીના તમામ વિસ્તારોમાં આ દિવસે પાણીકાપ રહેશે. કાપને ધ્યાને રાખીને અગાઉથી પાણીનો સંગ્રહ કરવા સૂચનાઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાએ વિસ્તારોના રહિશોને અપીલ કરી છે કે તેઓ પાણીના કાપને ધ્યાને રાખીને અગાઉથી પાણીનો જરૂરી સંગ્રહ કરી લે, જેથી દૈનિક કાર્યોમાં કોઈ મુશ્કેલી પડે નહીં. સમારકામની આ કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી નિર્ધારિત સમય મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવશે. જોકે શહેરના આ વિસ્તારોમાં હજારો પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે જાહેર કરવામાં આવેલા શટડાઉનને લઈને હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ભાવનગર જિલ્લા જેલની અંદર પ્રતિબંધિત ચીજવસ્તુ ફેંકવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જેલની સુરક્ષા વચ્ચે અજાણ્યા ઈસમ દ્વારા તમાકુ, ગુટખા અને શંકાસ્પદ પ્રવાહી જેલની અંદર ફેંકવામાં આવતા નિલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમાકુ અને પ્લાસ્ટિક બોટલમાં ભરેલું શંકાસ્પદ પીણું ઝડપાયુંઆ બનાવ અંગે નિલમબાગ પોલિસ મથકથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા જેલના ગ્રૂપ-2 ના જેલર બળદેવભાઈ કરશનભાઈ મીર એ ફરિયાદ નોંધાવી હતી કે, મારી ફરજ ડ્યુટી જેલર તરીકે હતી તે સમયે તા.14 જાન્યુઆરીના રોજ બપોરના સમયે જેલની અંદર દવાખાનાની પાછળના ભાગે ખાખી સેલોટેપ વિંટાળેલ એક પડીકુ તથા નાની પ્લાસ્ટીકની બોટલ, હાથ રૂમાલમાં બાંધેલ મળી આવેલ હતો. જે રૂમાલ બાંધેલ દડો જેલની મુલાકાત રૂમની બાજુમાં આવેલ ટોઇલેટ પાસેથી નાખવામાં આવેલ હોય તેવું જણાઈ આવેલ. અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપા્સ હાથ ધરાઈજે ખોલતા તેમાંથી વિમલ ગુટખા 8 નંગ, વિમલની તમાકુની પડીકી 8 નંગ, 138 તમાકુની પડીકીવાળા મસાલાના 2 નંગ, બુધાલાલ તમાકુની પડીકી 6 નંગ, લાલ કલરનું દુર્ગંધ ધરાવતું પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકની 250 એમ.એલની સોસીયો સોડાની બોટલ 1નંગ જેવી જેલ પ્રતિબંધિત ચીજ વસ્તુ મળી આવી હતી.જે મામલે નિલમબાગ પોલિસ મથકમાં અજાણ્યા શખસ વિરુદ્ધ BNS ની કલમ 223 તથા કેદી અધિનિયમ એક્ટ ની કલમ 42, 43, 45(12) મુજબની મળેલ જેલ પ્રતિબંધીત વસ્તુ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે આ બનાવ ને લઈ નિલમબસગ પોલીસ દ્વારા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વલસાડ તાલુકાના ચણવઈ ગામમાં આવેલા તળાવમાં ગત મોડી રાત્રે અજાણ્યા ઇસમો દ્વારા રહસ્યમય કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે તળાવની હજારો માછલીઓ મૃત્યુ પામીને કિનારે આવી ગઈ હતી, જેનાથી પર્યાવરણને મોટું નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ગઈકાલે મોડી રાત્રે કોઈ વાહન દ્વારા તળાવના પાણીમાં ઝેરી કેમિકલ છોડવામાં આવ્યું હોવાની આશંકા છે. સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા ગ્રામજનોએ તળાવના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોઈ હતી. કંપની દ્વારા ટેન્કર મારફતે ઝેરી કચરો તળાવમાં ઠાલવી દેવાયોકેમિકલ ભળવાને કારણે તળાવના પાણીનો રંગ બદલાઈને લાલ જેવો થઈ ગયો છે. આ પાણીનો ઉપયોગ પશુ-પક્ષીઓ પીવા માટે કરતા હોવાથી હવે તેમના માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આસપાસના ખેતરોમાં પણ આ જ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે, જેનાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કોઈ કંપની દ્વારા ટેન્કર મારફતે આ ઝેરી કચરો તળાવમાં ઠાલવી દેવામાં આવ્યો છે. તપાસનો રિપોર્ટ સત્વરે જાહેર કરવામાં આવેવહીવટી તંત્ર દ્વારા તળાવના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ તેનો રિપોર્ટ હજુ સુધી જાહેર થયો નથી. ગ્રામજનોની માંગ છે કે તપાસનો રિપોર્ટ સત્વરે જાહેર કરવામાં આવે અને આ કૃત્ય કરનાર જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય. તંત્ર દ્વારા આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો ઈચ્છી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. ત્યાં સુધી તળાવના પાણીનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
4 ડિસેમ્બર, 2025એ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા એવા નરાધમે પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં નરાધમ તેને એ જ હાલતમાં ત્યાં મૂકીને નાસી છૂટ્યો હતો. બાળકીને તાત્કાલીક સારવાર માટે ખસેડી દેવાતા બચાવ થયો હતો. પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે, 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો. સજાનું એલાન 15 જાન્યુઆરીએ એટલે આજે કરાશે. શું છે સમગ્ર મામલો?કાનપર ગામે બપોરના 12 વાગ્યે ભોગ બનનાર બાળકી પોતાના ભાઈ–બહેનો સાથે રમતી હતી, ત્યારે આરોપી રેમસીંગ તેરસીંગ મોટર સાઈકલ ઉપર આવી અને ભોગ બનનાર બાળકીને ઉપાડી બાજુના ઝાડ પાસે લઈ જઈ તેણીના ગુપ્ત ભાગમાં 5 ઈંચનો લોખંડનો સળીયો ભરાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસો સાંભળી બાજુના રૂમમાં રહેલી તેની મામી દોડી આવી, ત્યારે આરોપી રેમસીંગ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. બાળકીની ગંભીર હાલત અને સખ્ત રકતસ્ત્રાત જોતા મામીએ બાળકીના પિતા અને પોતાના પતિને તાત્કાલીક બોલાવી કાનપર ગામના સાર્વજનીક દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. બાળકીની હાલત અતિશય ગંભીર હોવાથી યોગ્ય સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે રાત્રિના 9 વાગ્યે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમય દરમિયાન અતિશય રકતસ્ત્રાવ થવાથી બાળકીનુ ઓપરેશન થઈ શકશે કે કેમ તે માટે રેડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ બેભાન બાળકીની વિસ્તૃત સારવાર કરવામાં આવતા બચી ગઈ હતી. આ સમયે બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરી પરંતુ આરોપીને કોઈએ જોયો ન હોવાથી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તા. 8 ડિસેમ્બર 2025ના રોજ આરોપી રેમસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળીયો કાઢી આપ્યો જે રકતથી ખરડાયેલો હતો. આ ઉપરાંત બનાવ સ્થળે FSL અધિકારીને પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાંથી આરોપીના માથાના વાળનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ મુદામાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા માથાના વાળ આરોપીના હોવાનું DNA પરીક્ષણમાં સામે આવ્યું હતું. તેમજ લોખંડના સળીયા ઉપરનું લોહી બાળકીનું હોવાનુ સામે આવ્યું હતું. 11 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ હતીતપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી CDR મેળવતા આરોપીની હાજરી કાનપર ગામના વિસ્તારમાં મળી આવી હતી. પોલીસ તપાસ પુર્ણ થયા બાદ તપાસનીશ અધિકારીએ ફકત 11 જ દિવસમાં સમગ્ર પોલીસ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ રજુ કરી દીધું હતું. આ સમય દરમિયાન બાળકીના પિતાએ કોર્ટમાં એક વિસ્તૃત પત્ર લખી તેની બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજા આપવા રજૂઆત કરી હતી.
ઉત્તરાયણના તહેવારના દિવસે વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં ધ્રુવા હાઇટ્સમાં રહેતા એક યુવક અને તેના પરિવારજનો પર પડોશમાં રહેતા પતિ પત્ની અને પુત્ર દ્વારા ચપ્પુ, લાતો અને મુક્કા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 વ્યક્તિ ઘાયલ થયા છે. મહિલાએ કહ્યું હતું કે: 'બોનીને આજે મારી જ નાખવો છે' આ મામલે વારસિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સામાન્ય બાબતે ત્રણ લોકોએ મળી હુમલો કર્યોવારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, નીકુલ ઉર્ફે ભયલુ નટવરભાઈ મણિલાલ સોલંકી (ઉંમર 24) એ જણાવ્યું છે કે, તેઓ પર્સનલ જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. ગત 13 જાન્યુઆરીએ રાત્રે પતંગ દોરા લેવા માટે તેઓ પોતાના મામા ગણપતભાઈ ભઈલાલભાઈ સોલંકીના ઘરે (મકાન નં. 114, સ્વાદ ક્વાર્ટર્સ) ગયા હતા. રસ્તામાં કેસરિયા ચાર રસ્તા પાસે નિકુલ તેમના માસીના પુત્ર બોની દશરથભાઈ સોલંકીને મળ્યા હતા અને બંને ઘરે પરત ફર્યા હતા. નિકુલે તેના મામાના ઘરે જઈને ઘરનો દરવાજો બંધ હોવાથી નિકુલે સોનુ દીદી દરવાજો ખોલ તેવી બૂમ પાડતા સામેના મકાનમાં રહેતો પ્રેમ રમેશભાઈ મારવાડી એક્ટીવા ઉપર આવ્યો હતો અને કેમ બૂમ પાડે છે, તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના તહેવારમાં મામાના ઘરે પતંગ ચગાવવા ગયા હતા. આખો દિવસ પરિવાર સાથે તહેવાર મનાવ્યા બાદ રાત્રે 8 વાગ્યે ધાબા પરથી નીચે ઉતર્યા હતા. રાત્રે 10 વાગ્યાની આસપાસ મામાના ઘરના ગેટ પાસે ઊભા હતા ત્યારે પ્રેમ મારવાડીએ આવીને ધક્કા માર્યા હતા અને ચપ્પુ કાઢીને નીકુલને ડાબા હાથના બાવડા અને ડાબી પાંસળી પાસે ઘા માર્યા હતા. મહિલાએ કહ્યું- 'બોનીને આજે મારી જ નાખવો છે'આ દરમિયાન પ્રેમના પિતા રમેશભાઈ મોહનભાઈ મારવાડી અને માતા વૈશાલીબેન મારવાડી પણ આવ્યા હતા અને નિકુલને લાતો-ઘૂંસા વડે માર માર્યો હતો. બચાવવા વચ્ચે પડેલા નીકુલના બનેવી મનીષભાઈ ગોપાલભાઈ સોલંકીને પ્રેમે ડાબા ખભા પાછળ ચપ્પુથી ઘા માર્યો હતો. બોની દશરથભાઈ સોલંકીને પણ છાતીની જમણી બાજુ અને મોંના જમણા જડબા-કાન પાસે ચપ્પુ વડે ઘા માર્યા હતા, જેનાથી લોહી નીકળવા લાગ્યું હતું. વૈશાલીબેને કહ્યું હતું કે, બોનીને આજે મારી જ નાખવો છે, બચી ગયો. મારા માસી રેખાબેન દશરથભાઈ સોલંકીને પણ લાફા વડે માર મારવામાં આવ્યો હતો. મહોલ્લાના લોકો ભેગા થતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તમામને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. બોનીની હાલત ગંભીર હોવાથી તેને ગ્લોબલ હોસ્પિટલમાં રિફર કરાયો છે. નીકુલ હાલ સારવાર હેઠળ છે અને સંપૂર્ણ ભાનમાં છે. વારસિયા પોલીસે આ મામલે પતિ રમેશભાઈ મારવાડી, પત્ની વૈશાલીબેન મારવાડી અને પુત્ર પ્રેમ મારવાડી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ટ્રેક લેવલિંગ માટે TTM (ટ્રેક ટેમ્પિંગ મશીન) દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી CRS અને ઇલેક્ટ્રિફિકેશન ઇન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવી રહી છે. રેલવે વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, 8 જાન્યુઆરી, 2026ના રોજ ગુરુવારે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનનું PCEE દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ બાદ ખેડબ્રહ્માથી ઇલેક્ટ્રિક લોકો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવ્યું હતું. હાલમાં હિંમતનગર રેલવે સ્ટેશન પરથી રેલવે લાઇન પર પાટાના પેકિંગ માટે TTM મશીનથી કામગીરી ચાલી રહી છે. આ મશીન દ્વારા પાટાના લેવલિંગમાં થતા ફેરફારોને સુધારવામાં આવી રહ્યા છે અને જ્યાં ટ્રેનની ઝડપમાં વધઘટ થાય છે ત્યાં પેકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રેલવે લાઇન પર ટ્રેનની ગતિમાં નોંધપાત્ર વધારો થઈ શકશે, જેનાથી મુસાફરોને ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે.
જામનગર પોલીટેકનિક હોસ્ટેલમાં વિદ્યાર્થી બીજા માળેથી પટકાયો:ગંભીર ઇજા થતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ
જામનગરની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં મોડી રાત્રે એક દુર્ઘટના બની હતી. હોસ્ટેલના બીજા માળેથી એક વિદ્યાર્થી અકસ્માતે નીચે પટકાયો હતો, જેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં લાલપુર પંથકનો રાહુલ નામનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે, જે બેડેશ્વર વિસ્તારમાં આવેલી આ કોલેજની હોસ્ટેલમાં રહીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. મોડી રાત્રે તે પોતાના રૂમ નંબર 204 પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસી જતાં તે બીજા માળેથી નીચે પટકાયો હતો. રાહુલને ગંભીર ઇજાઓ થતાં હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓને જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં રાહુલને જી.જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે વિદ્યાર્થીના વાલીઓને પણ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા. હાલ આ મામલે વધુ પૂછપરછ ચાલી રહી છે.
પાટણ નાગરિક સહકારી બેંકમાં 14 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ છે. નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશ પટેલે પરિવારજનોને ગોઠવવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે બેંકના ચેરમેન મહેન્દ્ર પટેલે ભરતી પ્રક્રિયાને નિયમોનુસાર અને પારદર્શક ગણાવી છે. નાગરિક હિત રક્ષક સમિતિ દ્વારા નવી ભરતીમાં ગેરરીતિના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કન્વીનર જયેશ પટેલે બેંકની મુલાકાત લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે સ્ટાફની જરૂરિયાત ન હોવા છતાં પરિવારના સભ્યોને નોકરીમાં ગોઠવવા માટે આ ભરતી કરાઈ છે. પટેલે મેનેજરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું કે બેંક બોર્ડને બદલે ખાનગી માલિકીની હોય તેવું વર્તન થઈ રહ્યું છે. તેમણે બેંકના બોર્ડ પર પ્રતીકાત્મક રીતે પોતાની માલિકીનો બોર્ડ મારી દેવાની ચીમકી આપી હતી અને ભરતી પ્રક્રિયા તાત્કાલિક રોકવાની માંગ કરી હતી. આ ગંભીર આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા બેંકના ચેરમેન મહેન્દ્ર પટેલે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે ભરતી માટે સરકારના અનુબંધ પોર્ટલ પર જાહેરાત અપાઈ હતી, જે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ હતી. આ જાહેરાતના પ્રતિસાદ રૂપે અંદાજે 76 ઉમેદવારોએ અરજી કરી હતી. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર છે અને તેના ઇન્ટરવ્યુ અંગેની જાણકારી અગાઉથી જ જિલ્લા રોજગાર કચેરીને પત્ર દ્વારા અપાઈ હતી. ચેરમેને ઉમેર્યું કે આ પ્રક્રિયામાં 12 ક્લાર્ક, 1 આઈટી ક્લાર્ક અને 1 પટાવાળા સહિત કુલ 14 લોકોની ભરતી કરાઈ છે, જેમાં 3 જૂના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જેમને કાયમી ઓર્ડર અપાયા છે. ભરતીમાં રવિનાબેન ઠાકોર નામની કર્મચારીની નિમણૂક અંગે ઉઠેલા સવાલો પર ચેરમેને જણાવ્યું કે તેઓ છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી બેંકમાં સેવા આપી રહ્યા છે. અગાઉના ચેરમેન દ્વારા તેમની અવગણના કરાઈ હોવા છતાં, માનવતાના ધોરણે અને ડિલિવરીના સમયગાળા દરમિયાન પણ તેમને નોકરી પર ચાલુ રખાયા હતા. આ વખતે ભરતી પ્રક્રિયા દરમિયાન તેમના અધિકારની રૂએ તેમને કાયમી કરાયા છે. આમ, બેંક પ્રશાસને દાવો કર્યો છે કે સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે અને સરકારી ધારાધોરણો મુજબ જ પૂર્ણ કરાઈ છે.
ઉતરાયણના તહેવારમાં પતંગ ચગાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી દોરીઓ રોડ પર નાખી દેવામાં આવે છે. કપાયેલી પતંગ અને દોરીઓના કારણે અકસ્માતની સંભાવના રહેતી હોય છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા રોડ પરથી દોરીઓ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના બીઆરટીએસ રૂટ, નેશનલ હાઈવે, જાહેર રોડ બ્રિજ અને સોસાયટીઓના રોડ પરથી કપાયેલી પતંગ અથવા નકામી દોરીઓને રોડ પરથી એકત્રિત કરી લેવામાં આવી છે. આજે 15 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી બંને દિવસને દોરીઓ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવશે. અંદાજે 50 કિલોથી વધારે નકામી દોરીઓ શહેરમાંથી બે દિવસ દરમિયાન એકત્રિત કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે પતંગ ચગાવ્યા બાદ શહેરના અલગ અલગ જગ્યાઓ ઉપર લોકો જાહેર રોડ ઉપર દોરીઓ નાખી દેવામાં આવતી હોય છે. જેના કારણે નાગરિકો અને પશુ પક્ષીઓને અકસ્માત થવાની સંભાવનાઓ વધતી હોય છે. જેથી જાહેર રોડ અને સ્થળો ઉપરથી દોરીઓ દૂર કરવાની કામગીરી સવારથી શરૂ કરવામાં આવી છે. સીએનસીડી વિભાગના સ્ટાફ દ્વારા શહેરના દરેક વિસ્તારમાંથી દોરીઓ એકત્રિત કરવામાં આવી રહી છે. બોપલ - ઘુમા, નરોડા, ચિલોડા, સાબરમતી ધર્મનગર, ચાંદખેડા વિસત હાઈવે, પાલડી, આંબાવાડી, ઇસનપુર ગોવિંદવાડી સર્કલ, નહેરુ બ્રિજ, વસ્ત્રાલ રબારી કોલોની, માણેકચોક, ઓઢવ અર્બુદાનગર, મણિનગર ભૈરવનાથ રોડ, રામબાગ રોડ, એલજી કોર્નર, ગાંધી બ્રિજ, દરિયાપુર કાજીપુર વગેરે વિસ્તારોમાંથી દોરીઓ એકત્રિત કરવામાં આવી છે. ઉતરાયણના પર્વના દિવસે લોકો દાન- પુણ્ય કરતા હોય છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર (ગૌશાળા)માં નોંધપાત્ર દાન મળ્યું છે. માત્ર ઉતરાયણના દિવસે નાગરિકો દ્વારા રોકડા તેમજ ગાયોને ખાણીપીણીનું દાન કર્યું છે. લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો ગોળ, પાપડી, ખોળ, લાડુ, ઘઉં, બાજરી, સુકો મેવો, ગોળ સાથેનો ખીચડો, વગેરે ખવડાવી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. રૂ.87 હજારનું રોકડ દાન પણ મળ્યું હતું. આ વર્ષે ઉત્તરાયણ પર 3385 લોકો દાન પુણ્ય કરવા આવ્યા હતા. જ્યારે ગત વર્ષે માત્ર 840 લોકો જ ગૌશાળા ખાતે દાન પુણ્ય કરવા માટે આવ્યા હતા.
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 13.12 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. જેની કિંમત રૂ.221 કરોડ જેટલી થવા જાય છે. આ દરમિયાન જંગલેશ્વરમાં અંદાજિત રૂ.400 કરોડની 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે. જેમાંથી બબ્બે વખત નોટિસ આપ્યા બાદ પણ હિયરિંગમાં ન આવનારા 390 મિલકત ધારકોને છેલ્લી તકના ભાગરૂપે આખરી નોટિસ આપવામાં આવેલી છે. જે હિયરિંગ 19 મી જાન્યુઆરીએ છે. જેમાં પોતાના હક્ક દાવા રજૂ ન કરતા આસામીઓની મિલકત બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવશે. કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણરૂપ 1358 આસામીઓને કલમ - 61 મૂજબ નોટિસ આપવામાં આવેલી છે. જેમાંથી 390 આસામીઓએ પૂર્વ વિભાગના મામલતદાર સમક્ષ પોતાના દાવાઓ રજૂ કર્યા છે. જ્યારે મિલકત અંગેના પોતાના હક્ક દાવાઓ રજૂ ન કરતા 968 આસામીઓને બીજી નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કરેલો છે. જે બાદ 390 મિલકતધારકો એવા છે કે જેઓએ હજુ પણ પોતાનો જવાબ રજૂ કર્યો નથી જેથી તેઓને ત્રીજી નોટિસ આપવામાં આવી છે. જેનું હિયરિંગ 19 જાન્યુઆરીના રાખવામાં આવ્યું છે. જેઓને સાંભળ્યા બાદ જે આસામીઓ જમીન પર પોતાનો કાયદેસરનો હક પ્રસ્થાપિત નહીં કરી શકે તેઓને કલમ 202 મૂજબ નોટિસ આપવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 13,12,888 ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ હોવાનું ગત વર્ષે સામે આવ્યું હતુ. જેથી આ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂ.221 કરોડ જેટલી થાય છે. રાજ્ય સરકારને અલગ અલગ પ્રોજેક્ટ ના ડેવલોપમેન્ટ અને લેન્ડ એલોટમેન્ટ માટે જમીનની જરૂર પડતી હોય છે ત્યારે સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએથી દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ પણ અગાઉ દાખલ કરવામાં આવેલી છે. જેનો મતલબ એ થાય છે કે, જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણ દૂર કરવા બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા હાઇકોર્ટ દ્વારા વહીવટી તંત્રને સાંભળવામાં આવે.
ગતરોજ મકરસક્રાંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓએ રેલ્વેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ કે.પી.પાનસુરીયા, વોર્ડ નં. 2 ના સહ પ્રભારી અશોકભાઈ બલર, વોર્ડ નં. 1ના પ્રભારી પ્રફુલ રાસડિયાના ધ્યાનમાં આવ્યું કે સુરતના ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક મનીષા ગરનાળા પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી કરવાની ઘટના ઘટી રહી છે. જે બાબતે તેમણે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીનો સંપર્ક કરતા તમામ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર જઈને જોતા માલુમ પડ્યું કે, ગુડ્સ ટ્રેનના લગભગ દરેક ડબ્બા પર વ્યવસ્થિત સીલ મારેલું છે અને પુરવઠા વિભાગનો સિક્કો પણ છે. પણ જે ડબ્બામાંથી ચોરી થયાનું ધ્યાનમાં આવ્યું ત્યાં સીલ પણ સુતળીની દોરીથી મારેલું હતું, મતલબ કે સુનિયોજિત રીતે એ સીલ આસાનીથી તોડી શકાય અને ચોરીની ઘટનાને અંજામ આપી શકાય તે રીતનું હતું. ડબ્બાની બાજુમાં નીચેની જગ્યાએ ખોદેલા ખાડામાં આશરે 15 થી 20 અનાજની બોરીઓ નાખેલી અને બિનવારસી હાલતમાં પડેલી હતી. નિયત કરેલી ફિક્સ જગ્યા પર જ ટ્રેન રોકવામાં આવતી અને ડબ્બામાંથી ચોખા અને અનાજની બોરીઓ નીચે ખાડામાં ફેંકવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું, જેને સુનિયોજિત અનાજ ચોરીનું કાવતરું કહી શકાય. આ બાબતે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, ગરીબોના મુખનું અનાજ લૂંટવાની એક ગંભીર ઘટના મનીષા ગરનાળુ પાસે આવેલા રેલવે ટ્રેક નજીક પ્રકાશમાં આવી છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રેલવે ટ્રેક પાસે આશરે 15 થી 20 બોરા જેટલું અનાજ ગેરકાયદેસર રીતે ઉતારવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટનામાં મોટા માફિયાઓની સંડોવણી હોવાની શક્યતા દેખાઈ રહી છે તેમજ આ પ્રકારની ગેરરીતિ ઘણા વર્ષોથી ચાલતી હોવાની શંકા છે. કે.પી. પાનસુરીયા, અશોક બલર અને પ્રફુલ રાસડિયા જેવા જાગૃત નાગરિકોની સતર્કતા કારણે આ ગરીબોના હકનું અનાજ માફિયા પાસેથી પકડી પાડવામાં આવ્યું અને તરત જ રેલવે પોલીસને જાણ કરવામાં આવી. હાલ રેલવે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના ગરીબોના હક પર થતી ખુલ્લી લૂંટનો પુરાવો છે. સંબંધિત તંત્ર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેર માંગ ઉઠી રહી છે. મોકલનાર કોણ, ચોરી કરનાર કોણ, આવા તકલાદી સીલ મારનાર કોણ, રેલવે કે પ્રશાસનના કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં વિગેરે તપાસ થવી જોઈએ જેથી એક મોટું રેકેટ બહાર આવશે.
ગાંધીનગરમાં ઉત્તરાયણનો આનંદ અનેક પરિવારો માટે ચિંતામાં ફેરવાયો હતો. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે પાટનગરમાં લોહીલુહાણ ઘટનાઓ સામે આવી છે. જેમાં ગિફ્ટ સિટીમાં નોકરી કરતા એક આશાસ્પદ યુવાન અને મગોડીના એક પ્રોઢનું ગળું કપાયું હતું. જોકે 108 ઇમરજન્સી સેવાની સતર્કતા અને સમયસૂચકતાને કારણે બંનેને નવું મળ્યું છે. મૂળ બિહારનો અને ગિફ્ટ સિટીની બેંક ઓફ અમેરિકામાં નોકરી કરતો શોભિત રાજ ગઈકાલે બાઈક લઈને કોબા કમલમ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક ચાઈનીઝ દોરી તેના ગળામાં ફસાઈ હતી, જેના કારણે તેની ગળાની ધોરી નસ કપાઈ ગઈ હતી. અત્યંત ગંભીર હાલતમાં અને વહેતા લોહી સાથે શોભિત નજીકની ગાયનેક હોસ્પિટલ પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા જ 108 ના EMT રવિ ચૌહાણ અને પાયલોટ રાજેશભાઈ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. બાદમાં શોભિતની સ્થિતિ નાજુક જોઈ તેને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને 6 ટાંકા લીધા હતા.આવી જ રીતે મગોડીમાં પણ 42 વર્ષીય દલપતભાઈનું ગળું કપાયાની ઘટનામાં 108 એ ત્વરિત કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છેકે ગાંધીનગરમાં સામાન્ય દિવસોમાં 108 પર સરેરાશ 84 જેટલા કોલ્સ આવતા હોય છે, પરંતુ 14 જાન્યુઆરીના રોજ આ આંકડો વધીને 118 પર પહોંચ્યો હતો. જેમાં ટ્રોમા નોન-વ્હીક્યુલર 31 કેસ,પ્રેગ્નન્સી સંબંધિત 20 કેસ,શ્વાસની બીમારી 11 કેસ,હૃદયરોગ 9 કેસ,પેટમાં દુખાવો 13 કેસ,ઝેરી દવા/અગમ્ય બીમારી 16 કેસ સહિતના કેસોમાં 108 ધ્વારા તાત્કાલિક સેવા પુરી પાડવામાં આવી હતી. આજે વાસી ઉત્તરાયણે પણ 108 એલર્ટ મોડ પર છે.ઇમરજન્સી સેવા 108 દ્વારા વ્યક્ત કરાયેલી શક્યતા મુજબ આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ કોલ્સની સંખ્યામાં વધારો થવાની શકયતા છે.ખાસ કરીને ધાબા પરથી પડી જવાના, વાહન અકસ્માત અને દોરીથી ઇજા થવાના કિસ્સાઓ વધવાની ભીતિ છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એમ્બ્યુલન્સને આયોજન રીતે તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈપણ કટોકટીમાં 'ગોલ્ડન અવર' માં દર્દીને સારવાર મળી રહે.108 સેવાએ નાગરિકોને વાહન ચલાવતી વખતે ગળામાં પટ્ટો કે હેલ્મેટ પહેરવા અને ઉંચાઈ પર પતંગ ચગાવતી વખતે સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.
વડોદરામાં ઉતરાયણના પર્વમાં પતંગની મોજ સાથે અકસ્માત, મારામારી સાથે પક્ષીઓ ઘાયલ થવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વડોદરામાં ઉતરાયણનો પર્વ માતમમાં ફેલાયો હતો કેમ કે બે લોકોના આ તહેવારમાં મોત થયા છે. વડોદરામાં આ વર્ષે 160 જેટલા અબોલા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં 153 જેટલા લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે પૈકી બે લોકોના મોત નિપજ્યા હતા. ગઈકાલે ઉત્તરાયણ પર્વના દિવસ દરમિયાન દોરી, માનવીય બેદરકારી અને અન્ય કારણોસર ઘાયલ થયેલા કુલ 160 અબોલ પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી સમયસર સારવાર અને સંભાળના પરિણામે 137 અબોલ પક્ષીઓને નવજીવન આપવામાં સફળતા મળી, જ્યારે દુર્ભાગ્યવશ 23 પક્ષીઓ સારવાર દરમિયાન અથવા સારવાર પૂર્વે મૃત્યુ પામ્યા હતા. ઉતરાયણ દરમિયાન શહેરમાં અલગ અલગ જગ્યાએ અકસ્માતના કેસ સામે આવતા હોય છે ત્યારે ઉતરાયણના દિવસે 108 ઇમરજન્સી વિભાગને અકસ્માતના 88 કોલ મળ્યા હતા જે નોર્મલ દિવસમાં 30 કેસ મળતા હોય છે. આ સાથે દિવસભર મારામારીમાં ઇજા પામેલા 27 કેસના કોલ મળ્યા જે નોર્મલ દિવસમાં 6 થી 7 જેટલા મળતા હોય છે. આ સાથે ઈજા પામેલા અન્ય કેસો મળી 108 સર્વિસની ઉતરાયણના દિવસે 350થી વધુ કોલ મળ્યા હતા જે નોર્મલ દિવસમાં 250 જેટલા કોલ મળતા હોય છે. આ સાથે 112 સર્વિસને વડોદરા શહેર જિલ્લામાંથી ઉતરાયણના દિવસે 399 કોલ મળ્યા હતા. આ અંગે પશુ ચિકિત્સા અધિકારી વિમલ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડોદરાના કુલ 41 સેન્ટરો કાર્યરત છે જેમાંથી 3 મુખ્ય કેન્દ્રો પર સારવાર આપવામાં આવી રહી છે. આ તહેવાર દરમ્યાન ગઈ કાલે 151 પક્ષીઓની સારવાર કરવાના આવી છે. જેમાંથી 101 કબૂતર અને અન્ય સમડી, બાજ,પોપટ જેવા અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે. લોકોને મારી અપીલ છે કે ઘાતક દોરીનો ઉપયોગ ન કરે અને પક્ષીઓના માળામાં જવાન અને આવવાના સમયે પતંગ ન ચગાવે. આ વર્ષે પવન ઓછો હોવાથી ઓછા પક્ષીઓ આવ્યા છે પરંતુ કેટલાક લોકો પુણ્ય મેળવવા માટે ગાય જેવા પશુને ગોળ એન ઘુઘરી જેવો આહાર વધુ પ્રમાણમાં આપતા તેને બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે અને ક્યારેક મૃત્યુ થવાનું પ્રમાણ પણ વધી જાય છે. જેથી એકજ દિવસમાં પુણ્ય કમાવા કરતા થોડાક દિવસના અંતરે પુણ્ય કમાવવાનું સારી બાબત છે. સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે,ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોય છે કારણ કે આ દરમિયાન પતંગની દોરીના કારણે ઈજા થવાના બનાવો બનતા હોય છે, અકસ્માતના બનાવો બનતા હોય છે. ગઈકાલને 14 તારીખના રોજ અમારી હોસ્પિટલમાં કુલ 153 કેસ આ ઈજાના આવ્યા છે. જે પૈકી 24 કેસ પતંગની દોરીના કારણે ઈજા થયેલી છે અને આ દર્દીઓ પૈકી બે દર્દીઓનું મૃત્યુ પણ થયું છે. દર્દીઓને સ્થિતિ સુધરે એ માટે અમારી ટીમ ખડેપગે તૈયાર જ છે, આજે પણ તૈયાર જ છે. અને દર્દીને સારવારમાં વિલંબ ન થાય એ પણ અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. ઉતરાયણ દરમિયાન શહેરમાં અલગ અલગ જગ્યાએ અકસ્માતના કેસ સામે આવતા હોય છે ત્યારે ઉતરાયણના દિવસે 108 ઇમરજન્સી વિભાગને અકસ્માતના 88 કોલ મળ્યા હતા જે નોર્મલ દિવસમાં 30 કેસ મળતા હોય છે. આ સાથે દિવસભર મારામારીમાં ઇજા પામેલા 27 કેસના કોલ મળ્યા જે નોર્મલ દિવસમાં 6 થી 7 જેટલા મળતા હોય છે. આ સાથે ઈજા પામેલા અન્ય કેસો મળી 108 સર્વિસની ઉતરાયણના દિવસે 350થી વધુ કોલ મળ્યા હતા જે નોર્મલ દિવસમાં 250 જેટલા કોલ મળતા હોય છે. આ સાથે 112 સર્વિસને વડોદરા શહેર જિલ્લામાંથી ઉતરાયણના દિવસે 399 કોલ મળ્યા હતા.
દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતો ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ દર વર્ષે ૧૬ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરી, જેના માધ્યમથી નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની દિશામાં એક મજબૂત પાયો રચાયો. આજે ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ માત્ર ઉજવણીનો અવસર નહીં પરંતુ આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે નવીનતા, ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિકતાની પ્રતિબદ્ધતાનો દિવસ બની ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય આજે દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. મજબૂત નીતિગત સહકાર, ઇન્ક્યુબેશન સપોર્ટ અને નાણાકીય પ્રોત્સાહનના આધારે ગુજરાત “વિકસિત ભારત@૨૦૪૭”ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્યમાં હાલમાં ૧૬ હજાર કરતાં વધુ DPIIT માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. ડીપ-ટેકથી લઈને કૃષિ, હેલ્થકેર, લાઇફ સાયન્સ, ક્લીનટેક અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ઉચ્ચ પ્રભાવ ધરાવતા ક્ષેત્રોમાં ગુજરાતના યુવા નવીનકારો નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. આ ઇકોસિસ્ટમમાં ૨૦૦થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, ૮૫૦થી વધુ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત ૩૫૦થી વધુ સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ–૨૦૨૦ અંતર્ગત ‘સ્ટાર્ટઅપ્સ/નવિનતા માટેની સહાય યોજના’ દ્વારા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૪૩૦થી વધુ સ્ટાર્ટઅપ્સને અંદાજે રૂ. ૬૫ કરોડની નાણાકીય સહાય પૂરી પાડી છે. આ ઉપરાંત ટેન્ડર ફી અને EMDમાં છૂટ, રૂ. ૧૫ લાખ સુધીની સીધી ખરીદી, તેમજ ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ મારફતે સમર્પિત વેન્ચર ફંડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારના સ્ટાર્ટઅપ સેલ દ્વારા નિયમિત ક્ષમતા વિકાસ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે. ૩૦૦થી વધુ મેન્ટર્સના સહયોગથી સ્ટાર્ટઅપ્સને વ્યૂહાત્મક માર્ગદર્શન, ઉદ્યોગ સંબંધિત સમજણ અને ક્ષેત્રવિશેષ નિષ્ણાતોની સહાય મળી રહી છે. આ ક્ષેત્રે રાજ્ય સરકારને અનેક રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયા છે. સ્ટાર્ટઅપ્સને માર્કેટ-એક્સેસ અને નેટવર્કિંગ માટે જિલ્લા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પહેલો કરવામાં આવી રહી છે. GeM વર્કશોપ્સ, ગ્રાન્ડ ચેલેન્જિસ, હેકાથોન્સ તેમજ મહેસાણા અને રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરેંસ દરમિયાન ૧૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને નિઃશુલ્ક પ્રદર્શન સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા હતા. રાજકોટ રિજનલ સમિટ દરમિયાન ત્રણ સ્ટાર્ટઅપ્સે મળીને અંદાજે રૂ. ૪૩ કરોડનું ભંડોળ મેળવ્યું, જે આ પહેલોની વાસ્તવિક અસર દર્શાવે છે. ગુજરાતના સ્ટાર્ટઅપ્સે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે. એગ્રીટેક સ્ટાર્ટઅપ NEERXને ફોર્બ્સ ઇન્ડિયા ૩૦ અન્ડર ૩૦–૨૦૨૩માં સ્થાન મળ્યું છે, જ્યારે દિવ્યાંગો માટે સહાયક ટેક્નોલોજી વિકસાવનાર Torch-IT રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયું છે. હેલ્થ-ટેક ક્ષેત્રમાં WeHear Innovations પણ વૈશ્વિક સ્તરે માન્યતા મેળવી રહ્યું છે. આ રીતે ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ના અવસરે ગુજરાત સરકાર નવીનતાને પ્રોત્સાહન આપવાની, ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાની અને સર્વસમાવેશી, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતાને ફરી એકવાર ઉજાગર કરે છે.

24 C