દારૂ ઝડપાયો:ભચાઉ પાસે રાપરથી વરસામેડી જતા 7.14 લાખના દારૂ સાથે બે પકડાયા
ભચાઉ પોલીસ મથકની ટીમે મળેલી બાતમીના આધારે ભવાનીપુર નાળા પાસે વોચ ગોઠવી કારમાં રાપરથી અંજારના વરસામેડી સુધી લઇ જવાતા રૂ.7.14 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપી સહિત બે જણાને પકડી વાહન સહિત કુલ રૂ.10.24 નો મુદ્દામાલ જપ્ત કરી મોકલનાર અને મગાવનાર સહિત ચાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. ભચાઉ પીઆઇ ડી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કેગત રાત્રે ટીમ પેટ્રોલિંગ દરમિયાન ભવાનીપુર નાળા પાસે પહોંચી ત્યારે બાતમી મળી હતી કે, અંજારના ધમડકા રહેતો વિપુલસિંહ ગોવુભા જાડેજા સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગુણાતીતપુરથી ભચાઉ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે ભવાનીપુર નાળા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકાવી કારની તલાશી લેતાં તેમાંથી રૂ.7,14,000 ના મુલ્યના વિદેશી દારૂની 476 બોટલો મળી આવતા ધમડકાના વિપુલસિંહ ગોવુભા જાડેજા અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપીને પકડી લઇ કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.10,24,000 નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા વિપુલસિંહની પ્રાથમિક પુછપરછમાં રાપરના મોટી રવમાં રહેતા યશપાલસિંહ બળવંતસિંહ જાડેજાએ આ દારૂ ભરાવી દીધો હતો અને આ જથ્થો વરસામેડીના રાજદિપસિંહ ભરતસિંહ ઝાલાને આપવાનો હતો.
માતાના મઢમાં ભક્તોની ભીડ:માતાનામઢમાં ચોથા નોરતે મંદિર પરિસર પડ્યું સાંકડું
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રીના રવિવારે પાંચમા નોરતે 25 હજાર કરતાં પણ વધુ સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યા હતા. જેને લઈને મંદિર પરિસર સાંકડું પડ્યું હતું વહેલી સવારથી મોડી રાત સુધી યાત્રિકોની અવરજવર ચાલુ રહેતા માતાજીના દર્શન માટે ભાવિકો કોઈ લાંબી કતાર લગાવી તેમના આશીર્વાદ લીધા હતા. રવિવારે જાહેર રજાને લઈને મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યા હતા અંદાજે 25 હજાર કરતા પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા. વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી યાત્રિકોએ મા આશાપુરા તેના દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતાર લગાવી હતી. તેમજ અહીં આવેલા મોટી સંખ્યામાં માઇ ભક્તોએ બપોરે ભોજન પ્રસાદ માટે પણ લાંબી લાઈન લગાવતા મંદિર પરિસર સાંકડું પડ્યું હતું. યાત્રિકોને કોઈ અગવડ ન પડે તેમજ માતાજીના સરળતાથી દર્શન કરવાની સાથે ભોજન પ્રસાદનો લાભ લઈ શકે તે માટે જાગીર ટ્રસ્ટનો સ્ટાફ તેમજ પૂજારી સ્ટાફ દ્વારા આયોજન વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. રવિવારે મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને અહીંની મુખ્ય બજાર બસ સ્ટેશન વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. યાત્રિકો ખાનગી વાહનો દ્વારા આવ્યા હોવાથી પાર્કિંગ પ્લોટમાં પણ મોટી સંખ્યામાં વાહનોની કતાર જોવા મળી હતી. આજે રાત્રે મહા આરતી સાથે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાશેમાતાનામઢમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે દુહા છંદ સાથે ખેલૈયાઓ દ્વારા માતાજીના ગરબા લેવામાં આવે છે. આજે પાંચમા નોરતે રાત્રે અહીં મહા આરતી સાથે કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર ઉમેશ બારોટ તેમજ રાજા વાસુ ગ્રુપ દ્વારા રાસ ગરબા સાથે માતાજીના ગુણગાનનો કાર્યક્રમ યોજાશે.
માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા યાત્રિકો અને સ્થાનિકો માટે કનેક્ટિવિટી વધારવા એક મહત્વના માર્ગને પાકો બનાવવાની માંગ ઉગ્ર બની છે. મઢથી અંદાજે બે કિલોમીટરના અંતરે આવેલા ધાર્મિક સ્થાન ‘જાગોરા ડુંગર’થી નખત્રાણાના પાનેલી ગામ સુધીના કાચા અને રેતાળ માર્ગને વહેલી તકે ડામર રોડમાં પરિવર્તિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. મઢ આવતા યાત્રિકો પૈકી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મઢથી અંદાજે 2 કિલોમીટર દૂર આવેલા જાગોરા ડુંગર પર બિરાજમાન ‘જાગોરા માતાજી’ના દર્શનાર્થે જતા હોય છે. આ ડુંગરથી પાનેલી ગામ પણ માત્ર અઢી-ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. જોકે, આ બંને ગામ વચ્ચે આવેલો જાગોરા ડુંગરનો માર્ગ બંને તરફથી અત્યંત કાચો અને રેતીવાળો છે. જેના કારણે વાહનો લઈને આવતા યાત્રિકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ઘણીવાર વાહનો ફસાઈ જવાની નોબત આવે છે. જો આ રસ્તાનું ડામર માર્ગ તરીકે નવનિર્માણ કરવામાં આવે તો આ વિસ્તારના અનેક લોકોને મોટો ફાયદો થશે. યાત્રાધામ માતાના મઢ અને નખત્રાણા તાલુકાના પાનેલી ગામ વચ્ચે સીધો અને પાકો માર્ગ બની જવાથી આસપાસના વિસ્તારના લોકોને માતાના મઢ પહોંચવું ખૂબ જ સરળ અને ઝડપી બની જશે. પૂર્વ સરપંચની લેખિત રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાંમાતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ તંત્રની બેદરકારી છતી કરતા જણાવ્યું કે, “અંદાજિત 5 કિમીના અંતરવાળો આ રસ્તો બે તાલુકાઓને જોડતો મહત્વનો છે. હું જ્યારે સરપંચ પદે હતો, ત્યારે આ કાચા માર્ગને પાકો બનાવવા માટે સંબંધિત વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.”
શહેરના હોસ્પિટલ રોડ પર ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસે પાલિકા દ્વારા લાખોના ખર્ચે હાઈમાસ્ટ ટાવર ઉભો કરાયો હતો, જેનો હેતુ આ વિસ્તારને પ્રકાશિત કરવાનો હતો. પરંતુ આ સુવિધા માત્ર ચાર દિન કી ચાંદની સાબિત થઈ છે. હાલમાં આ હાઈમાસ્ટ ટાવર બંધ છે અને તેની સાથે આસપાસની રોડ લાઈટો પણ ગુલ થતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં ગરકાવ થયો છે.હોસ્પિટલ રોડ માત્ર હોસ્પિટલો માટે નહીં, પરંતુ ખાણી-પીણીના કેન્દ્ર તરીકે ઓળખાય છે. દરરોજ સાંજે અહીં હજારોની સંખ્યામાં નાગરિકોની અવરજવર રહે છે, તેમ છતાં પાલિકાના શાસકો આ વિસ્તારની પ્રાથમિક સુવિધા પ્રત્યે ઘોર ઉપેક્ષા સેવી રહ્યા છે. રસ્તા પર ખાડા અને ઠેર-ઠેર જોવા મળતી ગંદકી દૂર કરવામાં નિષ્ફળ ગયેલી પાલિકા હવે પાયાની જરૂરિયાતમાં પણ કાપ મૂકી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.
મંડે પોઝિટીવ:માનવસેવાનો યજ્ઞ, માધાપરના ભજનધામની સૂરથી સેવા
કચ્છનું માધાપર ગામ માત્ર તેની આર્થિક સમૃદ્ધિ માટે જ નહીં, પરંતુ તેના અજોડ સેવાભાવી અભિગમ માટે પણ વિશ્વભરમાં એક અલગ ઓળખ ધરાવે છે. ‘સેવા એ જ પરમો ધર્મ’ના મંત્રને આચરણમાં મૂકતા માધાપરના બાલાજી ભજનધામ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ભક્તિ અને સામાજિક જવાબદારીનો એક પ્રેરણાદાયી સંગમ રચવામાં આવ્યો છે. માધાપર સ્થિત યક્ષ મંદિરની બાજુમાં આવેલા સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિર ખાતે દર શનિવારે રાત્રે સંતવાણી અને ભજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિક શાંતિની સાથે લોકકલ્યાણનો પણ છે. આ ભજનધામની વિશેષતા એ છે કે, અહીં યોજાતી સૂરસાધના માત્ર મનોરંજન કે પરંપરા પૂરતી મર્યાદિત નથી, પરંતુ અનેક લોકો માટે આશાનું કિરણ બની છે. કાર્યક્રમ દરમિયાન ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવતી ઘોર અને ફાળાની તમામ રકમનો ઉપયોગ સેવાકીય કાર્યોમાં કરવામાં આવે છે. આરોગ્ય, શિક્ષણ અને સેવામાં આ રકમનો પવિત્ર ઉપયોગ કરવાથી આ ભજનધામ અનોખું વાતાવરણ રચી રહ્યું છે. બાલાજી ભજનધામમાં રાજુભાઈ ગજ્જર, કનુભાઈ ગોસ્વામી, ઉમેશભાઈ ગજ્જર, વસંતભાઈ ભાનુશાલી, હરેશભાઈ ગજ્જર, યોગેશભાઈ ગજ્જર, મૌલિકભાઈ, નિખિલભાઈ ગજ્જર, રમેશભાઈ કારા, દીક્ષિતભાઈ ગજ્જર, કાદરભાઈ મીર, અર્જુનગીરી ગોસ્વામી, સિદ્દીક ઉસ્તાદ, શામજી ભગત, રુદ્ર દરજી, નારણભાઈ સુથાર, આર્યન ગોસ્વામી, વિનોદભાઈ ગોસ્વામી સહીત સેવાભાવી સભ્યો અને સાજિંદાઓ જોડાતા હોય છે. ભજનથી એકત્રિત થયેલા ભંડોળમાંથી ખાસ કરીને ડાયાલિસિસના ગંભીર દર્દીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ તેમની મોંઘી સારવાર વિનામૂલ્યે કે રાહત દરે કરાવી શકે. ગ્રુપના સદસ્યો આ યજ્ઞને અવિરત ચલાવી રહ્યા છે. અહીં ભજનના સૂર જ્યારે ગુંજે છે ત્યારે તેનો સીધો લાભ સમાજના છેવાડાના માણસને મળે છે, જે સાબિત કરે છે કે જો સાધનામાં શ્રદ્ધા અને નિઃસ્વાર્થ ભાવ હોય, તો તે સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. આમ, માધાપરનું બાલાજી ભજનધામ આજે માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ કરુણા અને સમર્પણની એક જીવંત મશાલ બનીને ઉભરી આવ્યું છે.
ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છ જિલ્લાના 2.62 લાખ પરિવારોને મળશે એપ્રિલમાં ત્રણ મહિનાનું એક સાથે રાશન
કચ્છ સહીત દેશભરના રેશનકાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવનારા એપ્રિલ મહિનામાં કચ્છના 2,62087 લાખ જેટલા રાશન કાર્ડ ધારકોને એક સાથે ત્રણ મહિનાનું એપ્રિલ, મે અને જૂન મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. જિલ્લામાં 2.62 લાખ રેશન કાર્ડ ધારકો સહીત 10.50 લાખ લોકોને સીધો ફાયદો મળશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તમામ લાભાર્થીઓ પોતપોતાની નજીકની વાજબી ભાવની દુકાન પરથી નક્કી કરેલા સમય દરમિયાન આ અનાજ મેળવી શકશે. આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, તેમ છતાં આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત મળશે તેવી શક્યતા છે. સરકાર દ્વારા જાહેર વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. વર્ષ 2025 દરમિયાન આશરે દેશમાં 41.41 લાખ અપાત્ર રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હવે રેશનકાર્ડ અને લાભાર્થીઓની માહિતી સંપૂર્ણપણે ડિજિટલ કરવામાં આવી છે. લગભગ તમામ વાજબી ભાવની દુકાનો પર ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (ePOS) મશીનો લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે અનાજ વિતરણ વધુ પારદર્શક અને સરળ બન્યું છે. આ સાથે જ 99 ટકા કરતાં વધુ લાભાર્થીઓને આધાર સાથે જોડવામાં આવ્યા છે અને લગભગ 98 ટકા વિતરણ બાયોમેટ્રિક આધારે થઈ રહ્યું છે. કચ્છમાં ગરીબોનું અનાજ મેળવતા 30 હજાર લોકોના કાર્ડ રદ્દવર્ષ 2025માં કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં શંકાસ્પદ રેશન કાર્ડની યાદી જાહેર કરી હતી. જેમાં કચ્છના 1.28 લાખ રેશન કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં તાલુકા કક્ષાએ કેન્દ્ર સરકારની યાદી મુજબ વેરીફીકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજીત 30 હજાર જેટલા રાશન કાર્ડને રદ્દ કરવામાં આવ્યા છે. આ એવા લોકો હતા જે પોતે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સરકાર પાસેથી અનાજ મેળવીને ગરીબોનું અનાજ પર તરાપ લગાવતા હતા.
ગુજકેટની પરીક્ષા:29 માર્ચે ભાવનગરમાં કુલ 7116 પરીક્ષાર્થી આપશે ગુજકેટ
હવે ધો.12 સાયન્સ ત્યારે વિદ્યાર્થીઓ તા.29 માર્ચને રવિવારે 10થી 4 વાગ્યા દરમિયાન લેવાનારી ગુજકેટની તૈયારીમાં લાગી ગયા છે. આ વર્ષે રાજ્યમાં કુલ 1,35,875 પરીક્ષાર્થી ગુજકેટમાં નોંધાયા છે જે ગત વર્ષે નોંધાયેલા 1,29,706ની તુલનામાં આ વર્ષે રાજ્યમાં 6,169 પરીક્ષાર્થી વધ્યા છે. ખાસ કરીને એ ગ્રુપમાં અને આઇટી તેમજ કમ્પ્યૂટર સાયન્સમાં રોજગારી વધતા એ ગ્રુપમાં આ વર્ષે 58,406 પરીક્ષાર્થી નોંધાાય છે જે ગત વર્ષે 49,175 હતા. આ વર્ષે ગ્રુપ એમાં 9,231 વિદ્યાર્થીઓ વધ્યા છે જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 3077 પરીક્ષાર્થી ઘટ્યા છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ 7116 પરીક્ષાર્થી નોંધાયા છે જેમાં 5807 ગુજરાતી માધ્યમ અને 1309 પરીક્ષાર્થી અંગ્રેજી માધ્યમના નોંધાયા છે. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 10થી 4 વાગ્યા સુધીમાં યોજાશે. વર્ષ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજિસ્ટ્રેશન થયેલી સ્કૂલોમાં ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત વિષયમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરવામાં આવ્યો છે. પરીક્ષાના પ્રશ્નપત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમમાં હશે. NCERT આધારિત ગુજકેટની પરીક્ષા રહેશે. જેમાં તમામ વિષયના 40 પ્રશ્નો હશે જે તમામ 40 ગુણના હશે. આમ કુલ 160 ગુણની ગુજકેટની પરીક્ષા યોજાશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે જેના માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. જ્યારે જીવ વિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ રહેશે જેના માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. વિષય અને માર્ક્સવાઇઝ અભ્યાસક્રમ પરીક્ષા માટે વિષયવાઇઝ સમયગુજકેટમાં ભૌતિક અને રસાયણ વિજ્ઞાન માટે 120 મિનિટનો સમય રહેશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિત માટે 60-60 મિનિટનો સમય રહેશે. આ વર્ષે રાજ્યમાં 6,169 પરીક્ષાર્થી વધ્યા
ભાવનગરમાં એરપોર્ટ રોડ નેચરલ પાર્ક ( સુભાષનગર)ની સામે મહાનગરપાલિકા સંચાલિત જોગર્સ પાર્ક આવેલો છે. આ જોગર્સ પાર્ક આ વિસ્તારના લોકો માટે બહુ ઉપયોગી છે, સિનિયર સિટીઝનો આ સ્થળે વોકિંગ અને સાંજનો સમયે રિલેક્સ થાય છે. આ પાર્ક આમ તો સુઘડ અને સ્વચ્છ છે, પરંતુ અહીં યુરિનલની વ્યવસ્થા ન હોવાથી ઉંમરલાયક વડીલોને મુશ્કેલીનો અનુભવ થાય છે. આજુબાજુમા પણ આવી કોઈ વ્યવસ્થા ન હોય વૃદ્ધાવસ્થાની યુરિનલની તકલીફ ધરાવતા વડીલોને માટે યુરિનલ વ્યવસ્થા સંબંધિત વિભાગ કરે તેવી લોકમાગણી છે. વધુમાં આ પાર્કમાં સફાઈ વગેરે જાળવણી અંગેનાં કામદારો આ કામગીરી ખૂબ સારી રીતે નિભાવે છે અને સાફ સૂથરૂ રાખે છે,સાથે સાથે વૃક્ષો/છોડવાઓની માવજત પણ કરે છે.પણ અહીં નિયમિત સિકયુરીટી વોચમેન નથી,જે કારણે હાલમા અહીં કસરતના સારા સાધનો સુવિધામાં લોકાપર્ણ કર્યા છે તે નાના બાળકો આવે છે, તે બાળસહજ રમતનાં સાધનો તરીકે ઉપયોગ કરતા હોય અમુક વખતે તેમને ઈજા થવા સંભવ છે,જે બાબતે જરૂરી ચોકસાઈ સંભાળ રાખવી જરૂરી છે. જેથી પાકૅ માં દેખરેખ પણ રહે, પહેલાં અહીં વોચમેન હતાં જે આવી દેખરેખ રાખતા હતાં.જેથી પાકૅમા કાયમી વોચમેનની વ્યવસ્થા કરવા અનુરોધ છે. -સુભાષનગરના વાચક ભદ્રેશભાઈ પાઠકનો રિપોર્ટ
સિદ્ધિ:મૂળધરાઈ જૂથ સહકારી મંડળી જિલ્લામાં પ્રથમ ક્રમે
રાજય સરકાર દ્વારા પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓને આર્થિક પ્રોત્સાહિત કરવા અને મંડળીઓને કામગીરીમાં ઉત્તમ ગુણવતા લાવવા માટે સને 2025-26ના વર્ષ માટે ઈનામી યોજના અમલમાં મુકવામાં આવેલ છે. ભાવનગર જિલ્લા સહકારી બેંક સાથે ભાવનગર જિલ્લો તેમજ બોટાદ,ગઢડા,સાવરકુ઼ડલા તાલુકાની કુલ 640 જેટલી મંડળીઓ જોડાયેલી છે આ યોજના અંતર્ગત જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર મંડળીને રૂા.પાંચ લાખની સહાય મંજુર કરવાની સત્તા રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગરને સરકાર દ્વારા સોપાયેલ છે. ભાવનગર જિલ્લા સહકારી બેંક સાથે ભાવનગર જિલ્લો તેમજ બોટાદ,ગઢડા,સાવરકુ઼ડલા તાલુકાની કુલ 640 જેટલી મંડળીઓ ખેતી વિષયક મંડળીઓ જોડાયેલી છે જે અંતર્ગત વલભીપુર તાલુકાની મુળધરાઇ જુથ સેવા સહકાર મંડળી સહકારથી સમૃધ્ધિની ભાવના સાથે કામ કરતી હોવાથી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાને પસંદગી પામેલ છે. મુળધરાઇ જુથ સે.સ.મંડળી હેઠળ તાલુકાના ભોજપરા,ભોરણીયા,રંગપુર અને પીપરાયા ગામના ખેડુત સભાસદોને તમામ પ્રકારના ધિરાણો તેમજ ખાતર-બીયારણ પુરૂ પાડવાની ઉમદા સેવા કરે છે. આ મંડળીનું ભંડોળ રૂા.12 કરોડનું છે. સભાસદોને રૂા.15 કરોડ કરતા વધુ રકમનું ધિરાણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે મંડળીએ રૂા.24 લાખનો નફો કરેલ છે. સ્વ.સતુભા ગોહિલએ વર્ષો સુધી જિલ્લા બેંકમાં ડાયરેકટર તરીકે કામગીરી કરી ત્યારબાદ અજીતસિંહ વી.ગોહિલ હાલ જિલ્લા બેંકમાં ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યાં છે હાલમાં મંડળીના મંત્રી તરીકે યોગીરાજસિંહ ગોહિલ સેવા આપી રહ્યાં છે. બે કેન્દ્રો પરથી ખાતરનું જરૂરિયાત મુજબ વિતરણમૂળધરાઈ જુથ સેવા સહકારી મંડળીમાં કુલ 717 સભ્યો છે અને તમામને ખેતીવિષયક ધિરાણ આપવામાં આવે છે ઉપરાંત સભાસદો ની ખાતરની જરૂરિયાત મુજબ વિતરણ માટે બે કેન્દ્રો પરથી કરવામાં આવે છે તેથી કયારેય ખાતરની અછત નથી રહેતી. દર વર્ષ સભ્ય લેવલે 100% વસૂલાત, 0 % NPA ધરાવતી મંડળીગ્રામ પંચાયતો સાથે સંકલન કરી મંડળી કાર્યક્ષેત્રના ગામોના ગ્રામજનોને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.મંડળીની આવી વિશિષ્ટ સેવાઓને ધ્યાને લઈ રાજય સરકાર ધ્વારા મુળધરાઈ જુથ સે.સ.મ.લીને જોલ્લાની શ્રેષ્ઠ મંડળી જાહેર કરવામા આવી છે. દર વર્ષ સભ્ય લેવલે 100 ટકા વસુલાત અને 0 ટકા એન.પી.એ ધરાવતી આ મંડળીને જિલ્લા બેંક ધ્વારા ઈનામ આપી પ્રોત્સાહીત કરવામા આવે છે.ગુજરાત એસ.ટી. કર્મચારી મંડળના સ્વર્ગસ્થ પ્રમુખ સતુભા ગોહીલનુ આ પૈત્રુક ગામ છે તેઓએ મુળધરાઇ જૂથ મંડળીનુ પ્રતિનિધિત્વ કરી વર્ષો સુધી જિલ્લા સહકારી બેકમા ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી છે. દર વર્ષે ઉચું ડિવિડન્ડ આપતી મુળધરાઈ મંડળીને રાજ્ય સરકાર તરફથી રૂ.5 લાખની રકમનુ ઇનામ પ્રથમ ક્રમાક પ્રાપ્ત થતા મુળધરાઈ ગામ તથા મંડળીના સંયોજીત ગામોના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ટોપ અપ સહાય:ભાવનગરમાં ટોપ અપ સહાયમાં 1157 લાભાર્થીઓને સહાય
ભાવનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય ટોપ અપ સહાય હેઠળ જે યોજના અમલમાં છે તેમાં 100 ટકા રાજ્ય ફાળા હેઠળ યોજના ક્યારથી અમલમાં છે. ગુજરાત વિધાનસભામાં ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજ્ય ટોપ અપ સહાય હેઠળ તરીકે કુલ 1157 લાભાર્થીઓને કુલ રૂપિયા 5785 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ અંગે એક પ્રશ્ન ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પૂછતા ગ્રામ વિકાસ મંત્રીએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 100 ટકા રાજ્ય વાળા હેઠળ રાજ્ય ટોપ અપ સહાયની યોજના તારીખ પહેલી એપ્રિલ 2025થી અમલમાં છે. આ યોજના અંતર્ગત પ્રતિ લાભાર્થીને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ એક વર્ષમાં રાજ્ય ટોપ અપ સહાય હેઠળ તરીકે 1157 લાભાર્થીઓને કુલ રૂ. 5785 કરોડની સહાય ચૂકવાઇ છે.
વેધર રિપોર્ટ:ગરમી વધી, બે દિવસમાં બપોરે મહત્તમ તાપમાન 4 ડિગ્રી વધ્યુ
ભાવનગર શહેરમાં વાવાઝોડાની સ્થિતિ વિખાઇ ગઇ છે અને તડકો વધી રહ્યો છે ત્યારે આજે શહેરમાં મહત્તમ તાપમાન વધીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 23.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા દિવસ અને રાત બન્ને સમય ગરમીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં આખો દિવસ પવનની ઝડપ 12 કિલોમીટર રહી હતી. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થતાં જ શહેરમાં ગરમીનો પારો વધીને 34.9 ડિગ્રી પહોંચી ગયો છે. સિસ્ટમ નબળી પડતાં જ ગરમીનો પ્રકોપ ફરી શરૂ થયો છે. જેથી 2થી 3 દિવસમાં જ ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચી જશે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રી સેન્ટીગ્રેડ હતો તે આજે 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો. જ્યારે 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 23.2 ડીગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આમ, દિવસ અને રાત્રે તાપમાન વધ્યું છે. શહેરમાં આજે સવાર અને સાંજે પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઇ હતી. તો શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા હતુ તે સાંજે ઘટીને 26 ટકા થઇ ગયુ હતુ. માવઠા અને વાવાઝોડાનો માહોલ વીખાઈ ગયા બાદ ભાવનગરમાં બે દિવસમાં બપોરે તાપમાન 4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 35 ડિગ્રીને આંબવા આવ્યુ છે ત્યારે બપોરે ગરમી અને બફારો વધ્યા છે.
ઉનાળું વાવેતર:ડુંગળીનું રાજ્યમાં કુલ પૈકી 50 ટકા વાવેતર ભાવનગરમાં થયુ
માવઠા અને સાથે વાવાઝોડા બાદ બાદ હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો ફરી એક વખત આરંભ થઈ ગયો છે ત્યારે ઉનાળુ ઋતુમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 38,700 હેક્ટરમાં થયું છે. જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 5,700 હેક્ટર થયું છે તે પૈકી 2,800 હેક્ટર વાવેતર એકલું ભાવનગર જિલ્લામાં થયું છે એટલે કે રાજ્યના કુલ વાવેતરના 50 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 38,700 હેક્ટરમાં થયું છે. જેમાં ડુંગળી સાથે મગફળીનું વાવેતર પણ મુખ્ય છે તો તલ અને બાજરીનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે. આમ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં ઉનાળુ વાવેતરમાં 38,700 હેક્ટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે. ઉનાળુ મગફળીનું સમગ્ર રાજ્યમાં વાવેતર 23,400 હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 7,200 હેક્ટર વાવેતર ઉનાળુ મગફળીનું થતા રાજ્યના કુલ વાવેતરના 30.77 ટકા વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. આમ, ભાવનગર જિલ્લો આ વખતે ડુંગળીની સાથે ઉનાળુ મગફળીમાં પણ રાજ્યમાં વાવેતરમાં નંબર વન રહ્યો છે.
ભાવનગર રેલવે ડિવિ.ને 2025 ફળ્યુ:2025માં ભાવનગર રેલવે ડિવિ.ને રૂ. 1319.57 કરોડની આવક નોંધાઇ
ભાવનગર રેલવે ડિવિઝનને કેલેન્ડર વર્ષ 2025 ફળ્યુ છે, અને પેસેન્જર, માલ પરિવહન, ટિકિટ ચેકિંગ થકી કુલ 1319.57 કરોડની આવક પ્રાપ્ત થઇ છે. વર્ષ દરમિયાન સપ્ટેમ્બર મહિના દરમિયાન સૌથી વધુ 104.61 કરોડની માલ પરિવહનની આવક થઇ હતી, જ્યારે મુસાફર પરિવહન થકી સૌથી વધુ આવક નવેમ્બર માસમાં 29.50 કરોડની થઇ હતી. રેલ મુસાફરીને મુસાફરો સૌથી વધુ પ્રાધાન્ય આપે છે, તેવી જ રીતે માલ પરિવહનમાં પણ રેલવે પર વધુ ભાર મુકવામાં આવે છે. ભાવનગર રેલવે ડિવિઝન તળે સંચાલીત થતી તમામ ટ્રેનોમાં પેસેન્જરની આવક સવિશેષ નોંધાઇ રહી છે, અને ભાવનગર-બાંદ્રા ટ્રેન ભાવનગર રેલવે ડિવિઝનની સૌથી વધુ આવક રળી આપતી ટ્રેન સાબિત થઇ રહી છે. કાયમ માટે ભાવનગર-બાંદ્રા ટ્રેન હાઉસફુલ હોય છે, અને તેના કારણે જ ભાવનગર-બાંદ્રા વિશેષ સાપ્તાહિક ટ્રેન પણ ફાળવવામાં આવી છે. મહિનાની દ્રષ્ટિએ વર્ષ 2025માં સૌથી વધુ આવક સપ્ટેમ્બર માસમાં થઇ છે, આ મહિના દરમિયાન રેલવેને મુસાફર થકી 26.93 કરોડ, માલ પરિવહન થકી 104.61 કરોડ અને ટિકિટ ચેકિંગ થકી 0.45 કરોડની આવક થઇ હતી આમ કુલ 131.99 કરોડની આવક માત્ર સપ્ટેમ્બર માસમાં થઇ છે, જ્યારે ઓક્ટોબરમાં 128.48 કરોડ, નવેમ્બરમાં 125.73 કરોડની આવક રેલવેને થઇ છે. નોંધપાત્ર આવક છતા નવી ટ્રેનોમાં સુસ્તતાભાવનગર રેલવે ડિવિઝનને નોંધપાત્ર આવક થઇ રહી છે, પરંતુ ભાવનગર-સુરત દૈનિક ટ્રેન ફાળવવા માટે પાલિતાણા-બાંદ્રા ટ્રેન દૈનિક કરવા માટે વારંવારની રજૂઆતો છતા કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. અન્યથા વધુ આવક થાય. > એસ.એન.મહેતા, નિવૃત્ત અધિકારી રેલવે
મંડે પોઝિટીવ:વિકલાંગ કંચનબહેન સંભાળે છે વૃદ્ધ માતા-પિતાની જવાબદારી
ત્રણ વાના મુજને મળ્યા: હાથ, હૈયું અને મસ્તક, ઘણું દઈ દીધું દીનાનાથ, હવે ચોથું નથી માંગવું. કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિને સાર્થક કરતી ઘટના જોવા મળી છે અને શારીરિક ખોડખાપણ હોવા છતાં તેઓ લડવૈયાની જેમ જિંદાદિલથી જિંદગી જીવતા હોય છે. આવું જ જિંદાદિલીનું નામ છે કંચનબેન સોલંકી છે. તેઓને બન્ને વિકલાંગતા હોવા છતાં કંચનબહેન 101 વર્ષીય પિતા અને 93 વર્ષીય માતા સહિત કુટુંબની જવાબદારી સંભાળે છે. કંચનબેન મૂળ સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામના વતની છે. હાલમાં પણ તેમના મમ્મી અને પપ્પા ત્યાં ગામડે વસવાટ કરે છે.મમ્મીની ઉંમર 93 વર્ષ અને પપ્પાની ઉંમર 101 વર્ષ છે. તેઓને કંચનબેન મદદરૂપ થાય છે. પાંચ દીકરીઓમાં તેઓ સૌથી નાના હોવાની સાથે લગ્ન કર્યા વિના જ કુટુંબ પરિવારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. એ પહેલાં ગામડે રહીને જ માલઢોરનું બધું જ કામ સંભાળતા હતા. તેમને અઢી વર્ષની ઉંમરથી તાવ આવ્યા પછી આંચકાને પોલિયોની બીમારીને કારણે બંને પગ ખોડખાપણભર્યા બની ગયા હતા. અત્યારે 42 વર્ષની ઉંમર તેમની થઈ છે, છતાં તેઓ ખૂબ આનંદથી અને મહેનત કરીને આટલા વર્ષોથી જિંદગી જીવી રહ્યા છે. તેમને જરા પણ જિંદગી પ્રત્યે કોઈ પણ પ્રકારનો રંજ નથી. અત્યારે ભાવનગરની જાણીતી માઈક્રોસાઈન કંપનીમાં તેઓ કામ કરીને પોતાનું જીવન જીવે છે.સારી રીતે તેઓ પોતે ચાલી શકતા નથી. ઢસડાઈને ચાલવું પડે છે, પણ ઢસડાઈને જીવતા નથી. રિક્ષામાં આવન જાવન કરે છે અને એક જગ્યાએ બેસીને તેઓ કામ કરી શકે છે. હાલ વાઘાવાડી રોડ વિસ્તારમાં તેઓને કંપની તરફથી ઓરડાઓ આપવામાં આવતા ત્યાં નિવાસ કરે છે. પગની તકલીફ જિંદગીમાં કાંઈ ખાસ અવરોધક લાગી નહીંહાલમાં તેઓ ભાવનગરની કંપનીમાં જોડાયા છે અને જિંદાદિલથી જીવન જીવી રહ્યા છે. તેમનો ચહેરા ઉપરનો આનંદ પણ કોઈ પણ વ્યક્તિને હિંમત આપી શકે તેવો છે. તેમણે મુલાકાત દરમિયાન જણાવ્યું કે, બાળપણમાં તેમને ખૂબ તાવ આવવા સમયે સમયસર દવાખાને પહોંચી શકાયુ નહોતું અને પછી આંચકા ને પોલિયોની બીમારીને કારણે મને આ રીતે પગની તકલીફ રહી ગઈ હતી.પરંતુ અત્યાર સુધીમાં મને ક્યારેય તે વાત જિંદગી જીવવામાં અવરોધક લાગી નથી.
પુણાના રત્નકલાકાર સાથે લગ્ન કરી નાસિકની લૂંટેરી દુલ્હન રૂ. 3.04 લાખનો મુદ્દામાલ લઈ ભાગી ગયાની ફરિયાદ નોંધાઈ છે. પુણા રહેતા પ્રફુલ ગોહિલ (37) રત્નકલાકાર છે. 2015માં તેમના લગ્ન થયા હતા, જોકે મનમેળ નહીં રહેતા 2023માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ 2024માં લગન્ બાબતે સમાજના મોહન રામજી ટાંકનો સંપર્ક કર્યો હતો. મોહને પોતાના મિત્ર જીતેન્દ્રકુમાર જૈન લગ્ન કરાવતા હોવાનું અને નાસિકમાં એક કન્યા હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં તારીખ 4 -9- 2024ના રોજ મોહને ફોન કરીને પ્રફુલને નાસિક કન્યા જોવા જઈ રહ્યો હોવાનું કહ્યું હતું. શીતલ નામની કન્યા સંસ્કારી અને દેખાવડી છે અને તેના પિતા નથી તેમ કહ્યું હતું. બાદમાં પ્રફુલને વીડિયો કોલથી વાત કરાવી હતી. પ્રફુલને કન્યા પસંદ પડતા તેણે લગ્નની હા પાડી હતી. ત્યારબાદ મોહન અને જીતેન્દ્રએ શીતલ નિકમ, તેની માતા શોભના તથા મામા માધવને લઈને તેમના ઘરે આવ્યા હતા અને રૂપિયા 1.90 લાખમાં લગ્ન નક્કી કર્યા હતા. આ રૂપિયા લઇ લીધા બાદ તારીખ 5-9-2024ના રોજ કામરેજ રામેશ્વર મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં પ્રફુલે શીતલને ચાંદીના ઝાંઝર, સોનાની વીંટી, નાકનો દાણો આપ્યા હતા. તારીખ 8-9-2024ના રોજ જીતેન્દ્રની પત્નીએ શીતલના ફોન પર કોલ કર્યો હતો અને પ્રફુલને કહ્યું હતું કે શીતલની માતા ગણપતિ ઉત્સવ હોવાથી તેને બોલાવે છે. થોડા દિવસમાં પરત આવી જશે. જો કે, પ્રફુલે પોતે નવા લગ્ન કર્યા હોવાથી ગામડે જવાના છે બાદમાં આવશે એમ કહ્યું હતું. જો કે, ત્યારબાદ લગ્નના પાંચમા જ દિવસે શીતલ ઘરેણાં લઈ નાસી ગઈ હતી અને ફોન બંધ કરી દીધો હતો. આ અંગે જીતેન્દ્ર તથા મામા બનીને આવેલા માધવને કહેતા તેમણે પણ જવાબ આપ્યો ન હતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં પ્રફુલે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેલી દુલ્હન શીતલ બાબુરામ નિકમ, માધવ માઘ (રહે રામેશ્વર નગર ઓરંગાબાદ મહારાષ્ટ્ર), જીતેન્દ્ર જૈન (રહે જોલાદ રાજસ્થાન) અને મોહન પાક (રહે કેવલ પાર્ક અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પહેલી છોકરી પસંદ ન પડી તો બીજી બતાવીમોહન અને જીતેન્દ્ર અગાઉ પ્રફુલને લઈને નાસિક ગયા હતા. જ્યાં તેને એક કન્યા બતાવી હતી પણ પ્રફુલને પસંદ ન આવતાં તેણે ના પાડી દીધી હતી. આ માટે તેણે ભાડા પેટે રૂ. 5000 લીધા હતા. બીજી વખત મોહન અને જીતેન્દ્ર તેમને નાસિક લઈ ગયા હતા અને કન્યા બતાવી હતી, જેના તેમણે ભાડાના રૂ 4000 લીધા હતા.
ગોડાદરામાં એક યુવકની 1 હજારની લેતીદેતીમાં 6 બદમાશોએ મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. આ પહેલા યુવકે ગોડાદરા પોલીસને જાણ કરી દેતાં પોલીસે દોડી આવી જીવના જોખમે ફિલ્મી સ્ટાઇલમાં 3 બદમાશોને દબોચી લીધા હતા. ત્રણેય પાસેથી ચપ્પુ મળી આવ્યા હતા. સીસીટીવીમાં પોલીસની બહાદુરી સામે આવી છે. ગોડાદરા ઘીરજનગરમાં રહેતા 19 વર્ષીય સચીન ચૌધરી પાસે 20મી માર્ચએ મોડીરાતે કનૈયા વિશ્વકર્મા 1 હજારની ઉઘરાણી કરવા આવ્યો હતો. સચીને આરોપી પાસેથી 1 હજારની રકમ ઉછીની લીધી હતી. આ રકમ ન આપતાં આરોપીઓએ સચીનની સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, તેને મારી નાખવાની ધમકી આપી હતી. જીવ બચાવી સચીન ત્યાંથી ભાગી ગયો હતો અને આ બાબતે ગોડાદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક આરોપીઓને શોધવા કામે લાગી હતી. એટલામાં 2 બાઇકો પર 6 બદમાશો ત્યાંથી જતા હતા. મુખ્ય સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા હજુ ફરારગોડાદરા પોલીસે જીવના જોખમે બન્ને બાઇકોને અટકાવી 6 પૈકી 3 બદમાશોને ફિલ્મી ઢબે પકડી પાડ્યા હતા, જ્યારે બાકીના 3 ભાગી ગયા હતા. ત્યાર પછી પોલીસે અન્ય 3ને પણ પકડી લાવી છે. પકડાયેલા આરોપીમાં મનીષ ગુપ્તા, પ્રિયેશ દુબે, દીપક યાદવ, અમિત યાદવ, પ્રકાશ સોની અને અભિષેક યાદવની ધરપકડ કરી છે, જ્યારે સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા હજુ ફરાર છે.
PG મેડિકલ સીટોનું ગણિત બદલાયું:હવે 40 બેડ પર 5ને બદલે 4 વિદ્યાર્થીને પ્રવેશ
NMC દ્વારા પીજી મેડિકલ શિક્ષણના નવા નિયમો જાહેર કરાયા છે. આ સુધારા મુજબ હવે ખાનગી મેડિકલ કોલેજોએ પીજી બેઠકો જાળવવા સરકારી કોલેજો કરતા વધુ સુવિધાઓ આપવી પડશે. જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ અને ગાયનેક જેવા વિભાગોમાં અત્યાર સુધી 40 બેડ દીઠ 5 વિદ્યાર્થીને પ્રવેશ મળતો હતો, જે ઘટાડીને હવે 4 કરાયો છે. એટલે કે, બેઠકો વધારવા માટે કોલેજોએ હોસ્પિટલમાં બેડ અને દર્દીઓની સંખ્યામાં મોટો વધારો કરવો પડશે. NMCના નિયમ મુજબ પ્રોફેસરો કોલેજ સમય કે લંચ બ્રેકમાં ખાનગી પ્રેક્ટિસ કરી શકશે નહીં. વર્ષમાં 300 દિવસના આધારે 75% હાજરી અનિવાર્ય છે. બેઠકો ઘટશે પણ પ્રેક્ટિસની ગુણવત્તા વધશે વિદ્યાર્થી અને સમાજને ફાયદો નોંધ: સરકારી કોલેજોમાં 5 સીટ યથાવત છે. નવી બિન-સરકારી સંસ્થાઓને શરૂઆતમાં મહત્તમ 4 બેઠકોની જ મંજૂરી મળશે.
અનેક વેપારીઓની લેણદેણ અટકી ગઈ:GST એસેસમેન્ટ બાદ નોટિસોની ભરમાર, વેપારીઓનાં ખાતાં ફ્રીઝ
જીએસટીના એસેસમેન્ટ સહિતના કેસોમાં હવે રિકવરી તેજ થઈ છે અને જે વેપારીએ યોગ્ય પ્રોસિજર નથી કરી તેમનાં બેંક ખાતા ફ્રીઝ કરવા માંડ્યા છે, જેથી અનેક વેપારીઓની લેણદેણ અટકી ગઈ છે અને સી.એ. પાસે દોડી રહ્યા છે. મળતી માહિતી મુજબ ડીઆરસી-07 પસાર થયો અને અપીલ દાખલ કરવામાં આવી નથી. ઓઆઇએ પસાર થયો અને ટ્રિબ્યુનલ માટે બાંયધરી રજૂ કરવામાં આવી નથી કે અપીલ દાખલ કરવામાં આવી નથી. આ ઉપરાંત રોકડ કર ભાગ પર અંતમાં 3બી માટે ચૂકવવાપાત્ર વ્યાજ સહિતની બાબતો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગળની પ્રોસિજર માટે 20% ચૂકવણી કરવી પડશેમાર્ચે એન્ડિંગ-ટાર્ગેટ એચિવ કરવાનો હોય આ પ્રોસિજર શરૂ કરી હોય શકે, જે ઝડપથી કરવાની રહેશે. એસેસમેન્ટ ઓર્ડર બાદ અપીલમાં કે અપીલથી ટ્રિબ્યુલનમાં જવા, બેંક એટેચમેન્ટથી બચવા 20 ટકા ચૂકવણી કરવાની રહેશે. > અતિત શાહ, સી.એ. બોગસ ઓર્ડરને કારણે પણ ઘણા વેપારીઓમાં મુંઝવણબોગસ એસેસમેન્ટ ઓર્ડર અને ઇ-મેલ મામલે પણ કરદાતા સી.એ. પાસે દોડી રહ્યા છે. અનેકને મેઇલ અને ઓર્ડર મોકલાયા છે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે પોર્ટલની માહિતી જ સાચી. ફોન કે મેસેજથી આઇટી માહિતી માગતું નથી. આથી સી.એ.ને બતાવવી જોઈએ.
વેધર રિપોર્ટ:બે દિવસમાં ગરમીનો પારો 2 ડિગ્રી વધી 37 થવાની આગાહી
શહેરમાં ઉનાળાની અસર શરૂ થઈ છે. રવિવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાતાં ગરમીનો અહેસાસ થયો હતો. ખાસ કરીને બપોરે તાપમાન ઊંચું રહેતા બફારો વધ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં શહેરમાં ગરમીમાં હજુ વધારો થવાની શક્યતા છે, જેમાં મહત્તમ તાપમાનમાં અંદાજે 2 ડિગ્રીનો વધારો થઈ 37 ડિગ્રી થઈ શકે છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો માહોલ વધુ તીવ્ર બનવાની સંભાવના છે. બીજી તરફ રાત્રિના તાપમાનમાં ખાસ ફેરફાર જોવા મળવાની શક્યતા નથી. આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે. રાત્રિના સમયે હળવી ઠંડકનો અહેસાસ થશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે, પરંતુ વરસાદની શક્યતા ઓછી છે. આરોગ્ય વિભાગ દ્વારા બપોરના સમયે બહાર નીકળતા શહેરીજનો માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી.
સુરતના એજન્ટ પાસે 23 ક્લાઈન્ટને અલ્બેનિયાના વિઝા અપાવાના બહાને કલોલના ઠગે 39.05 લાખ પડાવી ઠગાઈ કર્યાનો બનાવ પાલ પોલીસમાં નોંધાયો છે. પાલનપુર શ્રીલેખા રેસિડેન્સીમાં રહેતા અંકુર પટેલ ગૌરવ પથ પર ઈલાઇટ વિઝા હબના નામે ઓફિસ ધરાવે છે અને વિઝાનું કામ કરે છે. ફેબ્રુઆરી 2025માં તેમને વોટ્સએપ પર કોલ કરી પોતાનું નામ રાજ ઉર્ફે રોકી (રહે કલોલ ગાંધીનગર) જણાવ્યું હતું અને પોતે અલ્બેનિયા, ફિનલેન્ડ, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડના વિઝાનું કામ કરે છે એમ કહ્યું હતું. જેથી અંકુરે 3 ક્લાઈન્ટના કામ સોંપ્યા હતા, જેમના 15 એક દિવસમાં વિઝા મોકલી પેમેન્ટ માંગ્યું હતું. જેથી અંકુરે રૂપિયા મોકલી આપ્યા હતા. ત્યારબાદ અંકુરે બીજા 20 વિઝાના કામ સોંપ્યા હતા, જે માટે રૂ. 39.05 લાખ આંગડિયા મારફતે રાજને દિલ્હી મોકલી આપ્યા હતા. 5 દિવસ બાદ રાજે વિઝા અને ટિકિટ મોકલ્યા હતા. જો કે, ફ્લાઈટના બે દિવસ પહેલાં જ ટિકિટ કેન્સલ હોવાનું કહીને અટકાવી દેવાયા હતા, જેથી અંકુરે એમ્બસીમાં તપાસ કરતાં વિઝા બોગસ નીકળ્યા હતા. 10ની નોટ-કોન્ટેક્ટ નંબર મોકલી પૈસા મંગાવતો હતોરાજ વિઝા આપવાના બહાને આંગડિયા મારફતે દિલ્હી પૈસા મંગાવતો હતો, જે માટે તે 10ની નોટ અને કોન્ટેક નંબર મોકલી આપતો. બાદમાં અંકુર પૈસા મોકલે એટલે નોટ નો નંબર ટેલી કરી પૈસા મળવાનું કહી દેતો હતો.
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર ગુજરાતના ઉદ્યોગો પર થઈ રહી છે. ઉદ્યોગોમાં ગેસનો ઉપયોગ ઓછો થાય તે માટે ગુજરાત ગેસ કંપનીએ વપરાશ પર નિયંત્રણ મૂકવા બે સ્લેબ સિસ્ટમ લાગુ કરી છે. કંપની રાજ્યભરમાં 1000થી વધુ ઉદ્યોગોને 7 લાખ કિલોથી વધુ ગેસ પુરો પાડે છે. સુરતમાં જ 300થી વધુ ઉદ્યોગોમાં રોજ 1.50 લાખ કિલો ગેસનો ઉપયોગ થાય છે. મુખ્યત્વે ટેક્સટાઈલ પ્રોસેસિંગ મિલ, કેમિકલ મિલ અને એન્જિનિયરિંગ, જ્યારે અન્ય શહેરોમાં કેમિકલ, એન્જિનિયરિંગ, ટાઈલ્સ જેવા ઉદ્યોગમાં ગેસનો મોટા પ્રમાણમાં ઉપયોગ છે, જેથી નવા સ્લેબની સૌથી વધુ અસર ટેક્સટાઈલ ઉદ્યોગ પર થવાની શક્યતા છે. કંપની બે સ્લેબ પ્રમાણે દર વસૂલશે. મંજૂર જથ્થાનો 80 ટકા ઉપયોગ કરાશે તો યુનિટ દીઠ 49.50 રૂપિયા લાગશે, જ્યારે તેનાથી વધુ ઉપયોગ હશે તો 85 રૂપિયા વસૂલાશે. વધુ ગેસ વાપરનાર ઉદ્યોગોને વધુ દર ચૂકવવો પડે તે રીતે વપરાશ નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. કંપનીએ વપરાશ નિયંત્રિત કરવા સ્લેબ સિસ્ટમ લાગુ કરતા હવે ઉદ્યોગોએ ઉપયોગ આયોજનબદ્ધ રીતે કરવો પડશે, નહીં તો મોઘું પડશે. આગામી સમયમાં ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે. પહેલાંથી જ માંગમાં ઘટાડો ને ખર્ચમાં વધારો જેવી પરિસ્થિતિઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, ગેસના દરમાં વધારો થતાં ખાસ કરીને ટેક્સટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગના ખર્ચમાં વધારો થશે. ડાઈંગ-પ્રિન્ટિંગ મિલોમાં ગેસનો ઉપયોગ વધુ હોવાથી પ્રોસેસિંગ ખર્ચ વધશે અને તેની સીધી અસર તૈયાર કાપડના ભાવ પર પડી શકે છે. પહેલાંથી જ માંગમાં ઘટાડો અને ખર્ચમાં વધારા જેવી પરિસ્થિતિ વચ્ચે હવે ગેસના નવા સ્લેબના કારણે ઉદ્યોગ પર વધારાનું આર્થિક ભારણ આવશે તેવી ઉદ્યોગકારોને ચિંતા સતાવી રહી છે. ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકેવધુ ગેસ વાપરનાર ઉદ્યોગોનો ખર્ચ વધશે. ટેક્સટાઈલ પ્રોસેસિંગ, ટાઈલ્સ ઉદ્યોગ પર સૌથી વધુ અસર. તૈયાર માલ મોંઘો થઈ શકે ઉદ્યોગોની સંખ્યા અને દૈનિક ગેસ વપરાશનો અંદાજ સુરતમાં ટેક્સટાઈલ પ્રોસેસિંગ, કેમિકલ, એન્જિનિયરિંગ, જ્યારે અન્ય શહેરોમાં કેમિકલ, એન્જિનિયરિંગ, ટાઈલ્સમાં ઉપયોગ.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ડાયમંડ બુર્સ ખાતે 23 માર્ચથી દુબઈની સ્ટાર જેમ્સ કંપનીના રફ ડાયમંડનું પ્રી-ઓક્શન વ્યૂઈંગ શરૂ કરશે, જે 27 માર્ચ સુધી ચાલશે અને ત્યારબાદ ઓનલાઈન ટેન્ડરિંગથી ઓક્શન યોજાશે. આ સિવાય 3 કંપનીઓ એપ્રિલ સુધી રફ દેખાડશે. ઇવેન્ટમાં દેશ-વિદેશના ડાયમંડ વેપારી જોડાશે. આ વ્યૂઈંગનું આયોજન જીજેઈપીસીએ ટાવર-B, ઓફિસ નં. B-201 ખાતે કર્યું છે. પ્રી-ઓક્શન વ્યૂઈંગ દરમિયાન બાયર્સને રફ ડાયમંડને નજીકથી નિરીક્ષણ કરવાની તક મળશે, જેથી વેપારીઓ પારદર્શિતા સાથે વેપાર કરી શકશે. ત્રણેય નામાંકિત કંપની જોડાશેદુબઈમાં રફનું વેચતી ટોપ 3 કંપની સુરતમાં રફનું વ્યૂઈંગ કરશે, જેથી સુરતના નાના હીરા વેપારીઓને સીધો લાભ મળશે.’ > જયંતી સાવલિયા, ચેરમેન, જીજેઇપીસી હવે વૈશ્વિક સ્તરે ટ્રેડિંગ-ઓક્શનસુરત ડાયમંડ બુર્સ હવે માત્ર લોકલ ટ્રેડિંગ હબ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ડાયમંડ ટ્રેડિંગ અને ઓક્શન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે આગળ વધી રહ્યું છે.’ > લાલજી પટેલ, વાઇસ ચેરમેન, એસડીબી દુબઈ-બેલ્જિયમ જવું નાના હીરા વેપારીઓ માટે ખર્ચાળ હતું, હવે સીધો લાભ મળશેઅત્યાર સુધી રફનું વ્યૂઈંગ દુબઈ અને બેલ્જિયમ ખાતે થતું હતું. નાના વેપારીઓ માટે વિદેશગમન ખર્ચાળ હોવાથી તેઓ સીધા ખરીદીમાં ભાગ લઈ શકતા નહોતા. વિદેશ પ્રવાસ, વિઝા, રહેવા-જમવાના અને ટ્રાવેલ ખર્ચના કારણે નાના વેપારીઓ રફ માર્કેટથી દૂર રહેતા હતા. હવે સુરત ડાયમંડ બુર્સ ખાતે જ વ્યૂઈંગ થવાથી નાના વેપારીઓ સીધા હીરા જોઈને ખરીદી માટે ભાગ લઈ શકશે. ટ્રાવેલ ખર્ચ બચશે અને વધુ નાના વેપારીઓ રફ માર્કેટમાં પ્રવેશી શકશે.
કિટીપરા આવાસમાં બનેલી હુમલાની ઘટના:પાડોશીને ટપારવા ગયેલા બે ભાઈઓ પર જીવલેણ હુમલો
રાજકોટના કિટીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા જીતુભાઈ ભીખુભાઈ કંટોણિયા (ઉ.વ. 47) અને તેમના પાડોશી નાનજીભાઈ કંટોણિયા વચ્ચે કેબલ વાયર બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. દરમિયાન રવિવારે સવારે અંદાજે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આકાશે ફરી કેબલ વાયર કાપી નાખતા જીતુભાઈ આ બાબતે ફરિયાદ કરવા પાડોશીના ઘરે ગયા હતા. ત્યાં બોલાચાલી દરમિયાન આકાશ ઉશ્કેરાઈ જતા તેણે હાથમાં રાખેલી છરી વડે જીતુભાઈના માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાઓને કારણે જીતુભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જીતુભાઈના દિયર અજીતભાઈ ભીખુભાઈ કંટોણિયા(ઉ.વ.45) તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ ઘટનાની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે આરોપી આકાશે પાછળથી તેમના પીઠના ભાગે પણ છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ પિતા-પુત્ર બંને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પરિવારજનોએ તરત જ બંને ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
દારૂ ઝડપાયો:આણંદપર (બાઘી)ની સીમમાંથી 21.60 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ નજીક આવેલા આણંદપર (બાઘી) ગામની સીમમાં ખેતરમાં ખાડો કરી છુપાવેલ 21.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 4320 બોટલ દારૂ કબજે કરી ફરાર આરોપી મોન્ટુ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.કે. સામુદ્રે તથા તેમનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પો.કોન્સ. ભાવેશ મકવાણા અને કુશલ જોશીને બાતમી મળી હતી કે, આણંદપર (બાઘી) ગામના તળાવ પાસે આવેલી બિપીનચંદ્ર મેઘજીભાઈ રાઠોડની વાડીમાં જે મોન્ટુ નામના શખ્સે વાવવા રાખેલી છે, ત્યાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતા વાડીના ખૂણામાં જમીનમાં એક મોટો ખાડો કરેલો જોવા મળ્યો હતો. આ ખાડા પર કાળા રંગની પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકીને દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ખાડામાં તપાસ કરતા કુલ 360 પેટીઓ અને બોટલ નંગ 4320નો રૂ.21.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન વાડીમાં કોઈ હાજર મળી આવ્યું ન હતું. પોલીસે વાડી વાવવા રાખનાર આરોપી મોન્ટુ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માવઠાએ મહાનગરપાલિકાની પોલ છતી કરી, અનેક વિસ્તારમાં ગાબડાંઓ બહાર આવ્યા
ગત તા.19ના રોજ રાજકોટમાં દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યા બાદ શહેરભરમાં અનેક જગ્યાએ મહાનગરપાલિકાની બેદરકારી છતી થઇ છે. શહેરના મુખ્ય માર્ગો પર ખોદકામ બાદ ડામર કે સિમેન્ટ નાખવાને બદલે માટી નાખી દેવામાં આવી હોવાથી કમોસમી વરસાદમાં આવી માટી ધોવાઇ જતા અનેક જગ્યાએ ગાબડાં પડ્યા છે. જેમાં વાહનચાલકો પડી-આખડી રહ્યા છે. રાજકોટ મહાનરપાલિકા વર્ષે કરોડો રૂપિયાનું આંધણ રોડ બનાવવા પાછળ કરે છે. જોકે નવા રોડ બન્યા બાદ પાણી અને ગટરની લાઇનો નાખવાની કામગીરી માટે નવા નક્કોર રોડ-રસ્તા તોડી નાખવામાં આવે છે. સાથે જ આવા કામ પૂર્ણ થયા પછી ડામર કે સિમેન્ટના પેચવર્ક કરવાને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર માટી નાખીને કામ રોળવી દેવામાં આવતું હોય છે. ઉપરાંત અનેક જગ્યાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોય થોડા સમયમાં જ ગાબડાં ફરી જીવીત થતાં હોય છે. આ સંજોગોમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ શહેરમાં અનેક સ્થળોને ગાબડાં બહાર આવ્યા છે. જોકે મનપા દ્વારા આ રસ્તા રિપેર કરવા તસ્દી લેવાઇ નથી પરિણામે તૂટેલા વાહનચાલકો આવા ખાડામાં ખાબડી અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
રાજકોટમાં ઇશ્વરિયા ખાતે ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ ‘જીવન વિદ્યાપીઠ’નું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે 26મીએ તેનું ભૂમિપૂજન યોજાશે. આ તકે ત્રિવેણી સમારોહનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જેમાં પ્રથમ દિવસે સામાજિક સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ સૌરાષ્ટ્રના 51 તાલુકામાં સામાજિક સંમેલનો યોજીને 780થી વધુ ગામને જોડવાની અને સમાજમાં વ્યાપેલા કુરિવાજો તેમજ દેખાદેખીને તિલાંજલિ આપવાની ઘોષણા કરી છે. રાજકોટના વોર્ડ વાઇઝ 30,000થી વધુ લોકો માટે સમૂહ ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે. 20 કરોડથી વધુના દાનની જાહેરાતઆ મહોત્સવ દરમિયાન ઇશ્વરિયા ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર થનારા શૈક્ષણિક પ્રોજેક્ટ માટે દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ વહ્યો હતો. જેમાં ઓડિટોરિયમ માટે 12.51 કરોડ, ઉમિયાધામના પ્રમુખે 3.11 કરોડ, અન્ય પરિવારે સ્પોર્ટ્સ સંકુલ માટે 3.11 કરોડ આપ્યા છે. વૈશ્નાણી અને કોટડિયા પરિવારે 1.11 કરોડનું દાન, અન્ય સાત જેટલા યુવા ઉદ્યોગપતિઓએ 25-25 લાખનું દાન આપીને ટ્રસ્ટી તરીકે સેવા આપવાની નેમ વ્યક્ત કરી છે.
ગુજરાતના પાટનગર અને હરિયાળા શહેર તરીકે જાણીતા ગાંધીનગરના ગૌરવમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને ડસ્ટ ફ્રી સિટી બનાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં સેક્ટર 1થી 30ને સંપૂર્ણપણે ધૂળમુક્ત કરવાનો દાવો કરાયો છે. જે અન્વયે પ્રથમ તબક્કે ઘ, ચ, છ, ખ, ગ એમ આડા અને ઊભા રસ્તાઓને બ્લોકિંગ-બ્યુઇટિફિકેશન કરીને ડસ્ટ ફ્રી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની પણ લીલી ઝંડીગાંધીનગર મનપાના બજેટમાં શહેરના આંતરિક અને મુખ્ય માર્ગોને ડસ્ટ-ફ્રી કરવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ પણ લીલી ઝંડી આપી દીધી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રોડની આસપાસ જામતી માટીને રોકીને પ્રદૂષણ ઘટાડવાનો અને શહેરની સુંદરતામાં વધારો કરવાનો છે. રોડની બંને બાજુએ બ્યુટિફિકેશન, પેવિંગ, ગ્રાસિંગ અને પ્લાન્ટેશન મહાનગરપાલિકા દ્વારા આ અભિયાનની શરૂઆત શહેરના મુખ્ય ધમધમતા માર્ગોથી કરવામાં આવશે. જેમાં ઘ ,ચ , છ , ખ, અને જ રોડ એટલે કે આડા ઊભા રસ્તાઓનું પેવર બ્લોક બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ ત્રણ મુખ્ય રોડ અને તેને જોડતા સેક્ટરોના માર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. અહીં રોડની બંને બાજુએ પેવિંગ, ગ્રાસિંગ અને પ્લાન્ટેશન કરીને ખુલ્લી માટીને ઢાંકી દેવામાં આવશે, જેથી પવન કે વાહનોની અવરજવરથી ધૂળ ન ઉડે. અત્યાધુનિક ટેકનોલોજી ને મિકેનિકલ સ્વીપિંગ મશીનોનો ઉપયોગ મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડસ્ટ-ફ્રી પ્રોજેક્ટ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને મિકેનિકલ સ્વીપિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. રોડ અને ફૂટપાથ વચ્ચેની જે જગ્યા ખાલી હોય છે, ત્યાં બ્લોક્સ નાખવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં નાની ક્યારીઓ બનાવીને છોડ રોપવામાં આવશે. રિંગ રોડ આઇકોનિક ટાઇપમાં ડેવલપ થશેવધુમાં, રોડની સફાઈ માટે અત્યાધુનિક વેક્યુમ સ્વીપર મશીનો કામે લગાવવામાં આવશે, જે ધૂળના રજકણોને હવામાં ઉડતા અટકાવશે. આ સિવાય આંતરિક માર્ગો અને રિંગ રોડને પણ આઇકોનિક ટાઇપ રીતે ડેવલપ કરવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય પર સારી અસર પડશેગાંધીનગર ડસ્ટ ફ્રી સિટી બનવાથી માત્ર સુંદરતા જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. ઉડતી ધૂળને કારણે થતા શ્વાસના રોગો અને એલર્જીની સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ કરીને વહેલી સવારે વોકિંગ માટે નીકળતા નાગરિકો અને વાહનચાલકોને ક્લીન એર મળશે. પહેલાં ઓસ્ટ્રેલિયન ઘાસ ઉગાડવાની યોજના હતી તે પડતી મુકાઈઉલ્લેખનીય છે કે, ગાંધીનગરને દેશનું પ્રથમ ડસ્ટ-ફ્રી સિટી બનાવવા પૂર્વ મુખ્યમંત્રી અને PM નરેન્દ્ર મોદીએ કલ્પના કરી હતી. તેનાં માટે દરેક માર્ગની સાઇડ પરની અને જાહેર સ્થળો આસપાસની ખુલ્લી જગ્યા પર સતત ભેજને જાળવી રાખીને ધૂળને શોષી લેતા ઓસ્ટ્રેલિયન ઘાસ ઉગાડવાની યોજના અમલી બનાવાઇ હતી, પરંતુ જાળવણીના મામલે આ યોજના ખર્ચાળ સાબિત થતાં પડતી મૂકી દેવામાં આવી હતી. તેના વિકલ્પે આવા સ્થળોએ પેવર બ્લોક પાથરવાનો નિર્ણય લેવાયો હતો. ફૂટપાથ ઉપરાંત ખુલ્લી રહેતી જગ્યામાં પેવર બ્લોકિંગડસ્ટ-ફ્રી સિટી કોન્સેપ્ટ અંતર્ગત સિમેન્ટ કોન્ક્રિટના સિમેન્ટ બ્લોક પાથરવાની 80-20ની ટકાવારી મુજબ ખર્ચની યોજના લોકભાગીદારીથી અમલી કરવામાં આવી છે. તેમાં સોસાયટીઓમાં સરકારના 80 ટકા અને લોકોના 20 ટકા ખર્ચ ભાગીદારીનાં ધોરણે કામ કરી આપવામાં આવે છે. આ યોજનાને વ્યાપક લોક પ્રતિસાદ પણ મળ્યો છે. હવે આ યોજના ઉપરાંત રોડની સાઇડ પર ફૂટપાથ ઉપરાંતની ખુલ્લી રહેતી જગ્યામાં પણ પેવર બ્લોકિંગ બ્યુટિફિકેશન કરવાની શરૂઆત કરવામાં આવનાર છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. નિકાસ માટે મોકલેલા અંદાજે 1500 જેટલા કન્ટેનરો પરત આવતા અને શિપિંગ લાઈનો દ્વારા વસૂલવામાં આવતા તોતિંગ સરચાર્જને કારણે ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. આ કપરા સમયમાં કેન્દ્ર સરકારે ઉદ્યોગકારોને રાહત આપતા 50 લાખ સુધીના વળતરની જાહેરાત કરી છે. 1,500 કન્ટેનરો પરત ફર્યા, કરોડોનું નુકસાનમધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે મુંદ્રા અને કંડલા પોર્ટ તેમજ દરિયાઈ માર્ગેથી મોરબીના અંદાજે 1,500 કન્ટેનરો પરત આવ્યા છે. શિપિંગ કંપનીઓએ આ કન્ટેનરો પર 500 થી 3,500 ડોલર સુધીનો સરચાર્જ અને લાખો રૂપિયાનો ડેમરેજ વસૂલ્યો છે. સ્થાનિક ઉદ્યોગકારોના મતે, પ્રત્યેક કારખાનેદારને 5 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીનો આર્થિક ફટકો પડ્યો છે. સરકારી સહાયની જાહેરાતઆ ગંભીર પરિસ્થિતિ અંગે કેપેકસીએલ (CAPEXIL) ના સિરામિક ડિવિઝનના ચેરમેન નિલેશ જેતપરિયાએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરી હતી. જેના પગલે ભારત સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને અસરગ્રસ્ત એક્સપોર્ટરોને વધુમાં વધુ 50 લાખ સુધીનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી આર્થિક નુકસાન વેઠી રહેલા એકમોને મોટી રાહત મળવાની આશા છે. નિકાસ બજાર પર જોખમયુદ્ધના કારણે માત્ર મિડલ ઈસ્ટ જ નહીં, પરંતુ યુએસ સહિતના પશ્ચિમી દેશોમાં થતી નિકાસ પર પણ બ્રેક વાગી છે. મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારિયાના જણાવ્યા અનુસાર યુદ્ધ પહેલા જે ભાડા હતા તેમાં અનેકગણો વધારો થયો છે. તોતિંગ સરચાર્જને કારણે યુએસ અને અન્ય દેશોમાં એક્સપોર્ટ બિઝનેસ લગભગ ઠપ્પ થઈ ગયો છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો મોરબીએ વૈશ્વિક માર્કેટ ગુમાવવાનો વારો આવી શકે છે. ઉદ્યોગની વર્તમાન સ્થિતિ બંધ એકમો: ગેસના ઊંચા ભાવ અને નિકાસમાં અવરોધને કારણે અંદાજે 450 જેટલા સિરામિક કારખાનાઓ હાલ બંધ હાલતમાં છે. સરચાર્જ: કન્ટેનર દીઠ 500 થી 3,500 ડોલરનો વધારાનો બોજ. ડેમરેજ: પરત આવેલા માલ પર લાખો રૂપિયાનો દંડ. ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરો જો લાંબી ખેંચાશે, તો મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે ટકી રહેવું મોટો પડકાર બની રહેશે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... વિધાનસભામાં ‘ડ્રેસ કન્ફ્યુઝન’! પોલીસ કે કેન્ટિન સ્ટાફ? સમાન યુનિફોર્મથી કોન્સ્ટેબલોમાં અંદરખાને નારાજગીવિધાનસભા સત્ર દરમિયાન જ્યાં રાજકીય ગરમાવો છે, ત્યાં અંદરખાને એક અલગ જ “ડ્રેસ ડ્રામા” ચર્ચામાં છે. સુરક્ષા માટે મુકાયેલા પોલીસ કોન્સ્ટેબલોને ખાસ ડ્રેસ પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે, પરંતુ આ ડ્રેસનો કલર અને ડિઝાઇન એ જ છે જે વિધાનસભાની અમૂલ કેન્ટિનના કર્મચારીઓ પહેરે છે. પરિણામે, એક જ નજરમાં પોલીસ અને કેન્ટિન સ્ટાફ વચ્ચે ફરક કરવો મુશ્કેલ બની રહ્યો છે. સૂત્રો મુજબ, ઘણા કોન્સ્ટેબલો આ બાબતે અસંતોષ અનુભવી રહ્યા છે, પરંતુ સરકારી નોકરીના દબાણને કારણે ખુલ્લેઆમ કંઈ કહી શકતા નથી. અંદરખાને તો મજાકમાં “ડ્યુટી પર છીએ કે કેન્ટિનમાં?” જેવી ટિપ્પણીઓ પણ ચાલી રહી છે. સત્તાવાર રીતે કોઈ ફરિયાદ સામે આવી નથી, પરંતુ આ ‘ડ્રેસ કન્ફ્યુઝન’ વિધાનસભા પરિસરમાં ગોસીપનો ગરમ મુદ્દો બની ગયો છે. જોટંગીયા કેસમાં બચાવની દોડધામ તેજ, સચિવાલયમાં અંદરખાને હરકતપ્રદીપ જોટંગીયા ઉર્ફે ‘પ્રદીપ ગુરુજી’ની ધરપકડ બાદ કેસ હવે માત્ર પોલીસ તપાસ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ સચિવાલય સુધી તેની અસર પહોંચી હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ બે વગદાર પૂર્વ અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસોથી સચિવાલયની અલગ-અલગ ઓફિસોમાં જઈ રહ્યા છે અને જોટંગીયાની તરફેણમાં વાતો કરી રહ્યા છે. તેઓ દ્વારા જોટંગીયા નિર્દોષ છે અને સમગ્ર ગુનામાં તેમની સીધી સંડોવણી નથી એવી દલીલો આગળ ધપાવવામાં આવી રહી છે. સાથે જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી પહોંચીને ભલામણ કરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંદરખાને હલચલને કારણે કેસ વધુ ચર્ચામાં આવી ગયો છે અને હવે લોકોમાં પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આખરે આ બચાવની દોડધામ પાછળ શું કારણ છે. સંઘવીના ગુસ્સા બાદ સચિવાલયમાં સુરક્ષા ટાઈટ, હવે ઓફિસમાં એન્ટ્રી પહેલા કડક ચેકિંગ!નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરી બહાર થોડા દિવસ પહેલાં યુવકના આત્મહત્યા પ્રયાસ બાદ સચિવાલયમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ખાસ કરીને ચેકિંગની ઢીલાશ મુદ્દે ખખડાવ્યા હતા. હવે હાલત એવી છે કે તેમની ઓફિસમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું કડક બોડી ચેકિંગ કર્યા વગર અંદર પ્રવેશ મળતો નથી. માત્ર એટલું જ નહીં, સંઘવીના ગુસ્સા બાદ સ્વર્ણિમ સંકુલ-1 અને 2 બંને પરિસરમાં સુરક્ષા પણ ટાઈટ કરી દેવામાં આવી છે, જેને લઈને સચિવાલયમાં ‘હવે તો કોઈ ભૂલની ગુંજાઈશ નથી’ તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે. એક IASએ ખાનગી કન્સલ્ટન્ટ એજન્સી હોવા છત્તા બીજી એજન્સીને રાતોરાત નીમી દીધી અને ટેન્ડરોના કામો પણ આપી દીધાગુજરાત સરકારમાં થોડો સમય પહેલા જ બદલી થયેલા એક અધિકારી તેની બદલીના સમયથી જ વિવાદમાં રહેતા આવ્યા છે. જૂની જગ્યા પર પોતાના એટીટ્યુડને કારણે તેમજ માનીતી કંપનીઓ-એજન્સીઓની ફેવર કરવાને કારણે હકાલપટ્ટી થઈ હતી. હવે નવા પોસ્ટિંગ ઉપર પણ તેઓએ પોતાની કળાગીરી કરવાનુ શરુ કરી દીધુ છે. સચિવાલયમાં ચર્ચા છે કે, આ અધિકારી નવી જગ્યાએ ગયા ત્યારે અધિકારીઓ પાસેથી પ્રેઝન્ટેશનો લીધા હતા. જેમા તેમને ખ્યાલ આવ્યો કે, બેથી ત્રણ ટેન્ડરોનુ કામ હવે પૂરું થવામાં છે. હૈયાત એક કનસલ્ટીંગ કંપની આ ટેન્ડરોના કામો કરી રહી હતી.આમ છત્તા આ અધિકારીએ રાતોરાત જ અન્ય એક ખાનગી કન્સલ્ટીંગ એજન્સીને કામ આપી દીધુ હતુ એટલુ જ નહી, અધુરા ટેન્ડરના જે કામો હતા તેને પૂરુ કરવાની જવાબદારી પણ સોંપી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હૈયાત કનસલ્ટીંગ એજન્સી સામે કોઈ વાંધો-વિરોધ કે ફરિયાદ નહોતી. પરંતુ અધિકારીએ પોતાની મનમાની કરીને આ એજન્સીને સાઈડલાઈન કરીને પોતાના આર્થિક સ્વાર્થ માટે સરકાર ઉપર વધુ નાણા બોજ ઝીંકી દીધો છે. આંગણવાડીની બહેનો ભલે આંદોલન-ઉપવાસ કરે, IAS અધિકારીના પેટનુ પાણી હલતુ નથીછેલ્લા ઘણા સમયથી પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહેલી આશાવર્કર બહેનો માટે તંત્રને કોઈ જ પ્રકારની લાગણી કે સન્માન હોય તેવુ લાગતુ નથી. મહિલાઓના અધિકારોની મોટી વાતો કરી રહેલા રાજકીય નેતાઓ પણ બ્યુરોક્રેટ્સના ઈશારે નાચી રહ્યા છે.વિધાનસભાનુ સત્ર ચાલી રહ્યુ છે તેવા સમયે જ બહેનોએ ત્રણ દિવસનુ આંદોલન પણ કર્યુ હતુ. આમ છત્તા કોઈએ તેને ધ્યાનમાં લીધુ નથી. હવે બહેનોએ ચેતવણી આપી છે કે, સોમવારે અમે વિધાનસભાનો ઘેરોવો કરીશુ. આ તબક્કે આમ આદમી પાર્ટી પણ બહેનોની વહારે આવી છે. બહેનોની લડતમાં હવે આમ આદમી પાર્ટી પણ પોતાનુ સમર્થન આપી રહી છે. બીજી બાજુ ઉચ્ચ અધિકારીઓ વાસ્તવમાં તો ડરપોક છે. બહેનોની ચીમકીને પગલે મીટીંગોનો ધમધમાટ કર્યો હતો. ટોંચના પોલીસ ઓફિસરોએ ખાતરી આપી છે કે, બહેનોના આ કાર્યક્રમને અમે સફળ થવા દઈશુ નહી. બહેનોની લાગણી છે કે, હવે મુખ્યમંત્રીએ જ રસ લઈને ટોચના અધિકારીઓને આદેશ આપીને અમારી સમસ્યાને દૂર કરવા કહેવુ જોઈએ. જે ધારાસભ્ય પોતાની કાર જાતે ચલાવતા નથી તેને ST ચલાવવાનો શોખ જાગ્યો!રાજકારણમાં જોડાયેલા નેતાઓએ પોતાની પદ અને પ્રતિષ્ઠા માટે ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં ઢળી જવું પડે એવું છે જે ધારાસભ્યો એસી ગાડીમાં બેસી અને ડ્રાઇવર રાખીને ગાંધીનગર આવતા જતા હોય છે એવા ધારાસભ્યો હવે એસટી બસ ચલાવતા થઈ ગયા છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના ધારાસભ્યો એસટી બસ ચલાવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જે ધારાસભ્યો ગાંધીનગર સુધી આવવા માટે ડ્રાઇવરને લઈને ગાડીમાં આવતા હોય એવા ધારાસભ્યો હવે બસોની લીલીઝંડી આપી અને પોતે ડ્રાઇવિંગ સીટ સંભાળી રહ્યા છે. ભાજપના કાર્યકરોમાં ચર્ચા છે કે, જે સાહેબ ગાડી પોતે ચલાવીને આવતા નથી એવા ધારાસભ્યોને હવે એસટી બસ ચલાવવાના શોખ જાગ્યા છે. અગાઉ પણ એક બે ધારાસભ્ય એસટી બસ ચલાવતા જોવા મળ્યા હતા ત્યારે ધારાસભ્યો માટે હવે અલગથી એક એસટી રાખવી પડે તો પણ નવાઈ નહીં. અધિકારીઓની અછત વચ્ચે ચૂંટણી ડ્યુટી, છેલ્લી ઘડીએ ચાર અધિકારીને મુક્તિ મળતા ચર્ચાચૂંટણી ડ્યુટીમાંથી ચાર અધિકારીઓને છેલ્લી ઘડીએ મળેલી મુક્તિએ સચિવાલયના કોરિડોરમાં નવી ચર્ચાઓ જગાવી દીધી છે. “સ્પેશિયલ કેસ”ના બહાને કેટલાક અધિકારીઓને રાહત મળી જાય અને બાકીના હજુ પણ બહાર રાજ્યોમાં ફરજ બજાવે—તે મુદ્દે અંદરખાને ચર્ચાઓ ગરમ છે. એક તરફ રાજ્યમાં IAS અધિકારીઓની અછત અને બીજી તરફ મહત્વના વિભાગો ‘વધારાના ચાર્જ’ પર ચાલતા હોવાને કારણે કામકાજ ધીમું પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. હવે સવાલ એ ઉઠે છે કે આ મુક્તિઓ ખરેખર જરૂરિયાતના આધારે છે કે પછી ‘સેટિંગ’નું પરિણામ, આ ગૂંચવણ વચ્ચે સચિવાલયમાં ગોસીપને નવું ઈંધણ મળી ગયું છે. યુવા મોરચાના હોદેદારે પોતાનો જ સ્વાગત કાર્યક્રમ ગોઠવી દીધોભાજપના સંગઠનમાં પ્રમુખ અને મહામંત્રી મહત્વના હોદ્દા હોય છે. જોકે તાજેતરમાં જ અમદાવાદના યુવા મોરચામાં એક હોદ્દેદારનો દબદબો જોવા મળ્યો હતો. વારસાગત રીતે રાજકારણમાં પ્રવેશેલા અને હોદ્દો મેળવવામાં સફળ રહેલા હોદ્દેદારે પોતાના સ્વાગત કાર્યક્રમમાં પ્રમુખ અને મહામંત્રી સહિત આખી ટીમને રાહ જોવડાવી ઉભા રાખ્યા હતા. યુવા મોરચાના હોદ્દેદારે તાજેતરમાં જ પોતાનો હોદ્દો સંભાળ્યો હતો ત્યારે ફટાકડા ફોડવાથી લઈ અને મોંઘી લક્ઝુરિયસ કારમાં આવ્યા હતા જેમનું સ્વાગત કરવા માટે ખુદ અમદાવાદ શહેર યુવા મોરચા પ્રમુખ અદબ વાળીને તેમની રાહ જોઈ રહ્યા હતા જ્યારે એક મહામંત્રી હાથમાં ફૂલહાર લઈને તેમનું સ્વાગત કરવા માટે ઉભા રહ્યા હતા. આજ હોદેદારના હોદ્દા પ્રમાણે બીજા પાંચથી છ હોદ્દેદારો પણ છે પરંતુ આ એક નેતાનો એવો દબદબો હતો કે, તેમણે પોતે પોતાનો સ્વાગત કાર્યક્રમ ગોઠવી દીધો હતો જેમાં પ્રમુખને પણ રાહ જોવડાવીએ ઉભા રાખ્યા અને સ્વાગત કરી પ્રમુખ ખુદ તેમને લેવા ગયા હતા. યુવા મોરચામાં માત્ર હોદ્દાઓ હોય છે પરંતુ દબદબો તો આ નેતાના વારસાગત રાજકારણમાં મોટા નેતાઓના ઝભ્ભા પકડીને ચાલનારા જ નેતાનો ચાલી રહ્યો છે. AMCના કાર્યક્રમમાં ધારાસભ્ય અને પૂર્વ કોર્પોરેટરો વચ્ચે 'અંતર' વધ્યુંરાજ્યમાં મોટાભાગની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ટર્મ પૂરી થઈ ચૂકી છે અને હવે કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો તરીકે ઓળખાતા થઈ ગયા છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદના એક વિધાનસભા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાત મુહૂર્તના કાર્યક્રમમાં ધારાસભ્યની આજુબાજુ પૂર્વ કોર્પોરેટરો નહીં પરંતુ સંગઠનના નેતાઓ ગોઠવાઈ ગયા હતા. ધારાસભ્યની બાજુમાં સંગઠનના હોદ્દેદારને બેસાડવામાં આવ્યો હતો. જ્યારે કોર્પોરેટરો ધારાસભ્યની આજુબાજુ ગોઠવાયેલા સંગઠનના હોદ્દેદારો પછી બેઠા હતા. કોર્પોરેટર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરીને પોતે કામ મંજૂર કરાવી બાદમાં હવે ધારાસભ્યના હાથે ખાતમુહુર્ત કરાવ્યું હતું. જોકે ધારાસભ્યની બાજુમાં કોર્પોરેટરો એ પોતે જ નામ આપીને સંગઠનના હોદ્દેદારો બનાવેલા હોદ્દેદારો જ ગોઠવાઈ ગયા હતા. જેથી હાથના કર્યા હૈયે વાગ્યા એવી સ્થિતિ પૂર્વ કોર્પોરેટરો માટે ઊભી થઈ હતી. એક સમયે ધારાસભ્યની બાજુમાં ઉભેલા હવે બે થી ત્રણ હોદ્દેદાર પછી બેસવું પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. કાર્યકર્તાઓમાં એક જ ચર્ચા- 'ગરમી વધે તે પહેલા ચૂંટણી પતી જાય તો સારું'રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરવાનો સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ નથી ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના નેતાઓમાં ચૂંટણી હવે ક્યારે આવશે એની ચર્ચા ખૂબ જોરશોરથી થઈ રહી છે. માત્ર રાજકીય નેતાઓમાં જ નહીં પરંતુ IAS, IPS અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં પણ ચર્ચા છે કે હવે ચૂંટણી ક્યારે જાહેર થશે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વહીવટદાર શાસન લાગુ થઈ ગયા છે. પરંતુ ચૂંટણી ક્યારે કરવી એ હજી સુધી નક્કી નથી આગામી દિવસોમાં ઉનાળાનો સમય આવી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના નેતાઓમાં મત આપવા લોકો આવશે કે નહીં ચિંતા અત્યારથી જ થઈ રહી છે. ખાસ કરીને મતદાનમાં કોઈને રસ હોતો નથી ત્યારે જો 40 ડિગ્રીથી વધારે ગરમીમાં ચૂંટણી યોજાશે તો મતદાન ઓછું થશે અને પાર્ટીના નેતાઓને ખૂબ મહેનત કરવી પડશે ત્યારે હવે જલ્દીથી ઓછી ગરમીમાં જો ચૂંટણી થાય તો ફાયદો થાય પરંતુ રાજ્યનું ચૂંટણી પંચ ક્યારેય ચૂંટણી જાહેર કરશે એના પર સસ્પેન્સ છે.
ગુજરાતામં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂકી છે. ત્યારે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે (23 માર્ચ 2026) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી આજે વડોદરામાં સંવાદ કરશે. આદિવાસી આગેવાનો અને NGO સાથે ચર્ચા કરશેકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે, જ્યાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તેમનું સ્વાગત કરશે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે આજવા ચોકડી પાસે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 1500થી વધુ આગેવાનો જોડાય તેવી શકયતા છે. આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી એનજીઓ, આદિવાસી આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, યુવાનો, મહિલાઓ, કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહેશે. ઉપરાંત આદિવાસીઓના અધિકારો તેમજ તેઓ સામેના અન્યાય અંગેના મુદ્દાઓ ઉપર સભા સંબોધિત કરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટેનો આ પ્રયાસ છે. 'ગુજરાતના આદિવાસીઓ સાથે ઓરમાયા વર્તનનો આક્ષેપ'કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં લોકોના સંવિધાનના અધિકારો છીનવાઈ રહ્યા છે. ચારેતરફથી અતિક્રમણ થઈ રહ્યું છે. સરકાર રક્ષણ કરવાના બદલે સમર્થન કરી રહી છે. આદિવાસી સમાજના જળ, જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળે છે. આજે પણ આદિવાસીઓ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. વિકાસ માટે બજેટમાં પણ મોટો ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસીના નામે બજેટ ફાળવાય છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના લોકો લડત આપી રહ્યા છે. આ સમાજ હાલમાં સંઘર્ષ કરી રહ્યો છે. સાંજે 5 વાગ્યે રાહુલ ગાંધી દિલ્હી રવાના થશેકોંગ્રેસના સીધા સંવાદમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી સાંજે 5 વાગ્યે વડોદરા એરપોર્ટ મારફતે સીધા દિલ્હી રવાના થશે. તેઓનો આ એક દિવસનો ગુજરાતનો કાર્યક્રમ આદિવાસીઓ માટે લડત આપી રહેલા લોકોમાં જુસ્સાનો નવો સંચાર કરશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણીના યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણ માટે રાજકોટ મહાનગરપાલિકાએ રૂ.39.49 કરોડના ખર્ચે નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટ આગામી 18 મહિનામાં પૂર્ણ કરી દેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દરરોજ 1.74 કરોડ લિટર(17.40 M/ld) ગંદા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવશે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ પ્લાન્ટ પૂર્વ વિસ્તારની ડ્રેનેજ લાઈનો પરનું ભારણ ઘટાડશે અને ગંદા પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરશે. આ સુવિધાના સંચાલન માટે પાલિકાએ 5 વર્ષ સુધી નિષ્ણાત એજન્સીની દેખરેખ હેઠળ કામ ચલાવવાનું નક્કી કર્યું છે. જેનાથી મનપા પાસે રિટ્રીટ વોટરની ક્ષમતા અને જથ્થામાં વધારો થશે અને પૂર્વ ઝોનની ગંદા પાણીની સમસ્યામાં પણ રાહત થશે. પાણી શુદ્ધ કરવાની સિક્વન્સિયલ બેચ રિએક્ટર પદ્ધતિ આ રીતે કામ કરે છેગંદા પાણીને પાંચ અલગ-અલગ તબક્કામાં એક જ ટેન્કમાં શુદ્ધ કરવામાં આવે છે. પાણીમાં હવા(ઓક્સિજન) ઉમેરાય છે જેથી કુદરતી બેક્ટેરિયાનો વિકાસ થશે અને તે અશુદ્ધિઓ ખાઈ જાય છે. થોડા જ કલાકોમાં પાણીની ગંદકી(ઓર્ગેનિક મેટર) ખાઈ જતા બેક્ટેરિયાની એક સ્લરી કે કાદવ બને છે જે તળિયે બેસી જાય છે અને ઉપર પાણી રહે છે. કાદવ સુધીના પાણીને બીજા ટેન્કમાં મૂકી સ્લરીનો ઉપયોગ બેક્ટેરિયાના કાચા માલ તરીકે આગળના પાણીના નવા જથ્થામાં ઉમેરી આ પ્રક્રિયા રિપીટ કરાય છે. આ પદ્ધતિમાં પાણી શુદ્ધ થાય છે કે તે ફરીથી અન્ય કામો જેવા કે કન્સ્ટ્રક્શન અને ગાર્ડનિંગમાં વાપરવા માટે યોગ્ય બને છે. પર્યાવરણને કેવો થશે ફાયદો
બટરફ્લાય ગાર્ડનનું કરાશે નિર્માણ:બાલભવનમાં પાંગરશે પતંગિયાનું નવું સામ્રાજ્ય
રાજકોટનું હૃદય ગણાતું રેસકોર્સ અને ત્યાં આવેલું બાળકોનું માનીતું ‘બાલભવન’ હંમેશાં કંઈક નવું પીરસવા માટે જાણીતું છે. ડિજિટલ યુગમાં જ્યારે બાળકો સ્ક્રીન સામે વધુ સમય વીતાવે છે, ત્યારે તેમને પ્રકૃતિની વધુ નજીક લઇ જવા અને તેનું મહત્ત્વ સમજાય તે માટે બાલભવન અને ‘વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન’ના સંયુક્ત ઉપક્રમે બટરફ્લાય ગાર્ડન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મહિનાથી અહીં આ ગાર્ડન બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે અને પૂર્ણ થતા હજુ એક મહિનો થશે. આ કાર્ય કરવા પાછળનો હેતુ જણાવતા સંસ્થાના નવનીતભાઇ અગ્રાવતએ કહ્યું હતું કે, મધમાખી, પતંગિયા અને ભમરો ન હોય તો માણસનું જીવન અશક્ય છે. કેમ કે પોલિનેશનની પ્રક્રિયા માટે આ ત્રણેય જીવ જરૂરી છે અને પોલિનેશન કરે ત્યારે જ ફૂલમાંથી ફળ બને. જેમાં એક મધમાખી 3 કિમીની ત્રિજ્યામાં ફરી પોલિનેશન કરી ખેડૂતનું ઉત્પાદન વધારે છે. રાજકોટના બાલભવનના ગાર્ડનમાં 25થી વધુ છોડ વવાશે, 4 પ્લાન્ટ પુનાથી મગાવ્યાગાર્ડનમાં હાલ હાથીસૂંઢી, ઘૂઘરો, નીલા ચિત્રક, સ્નેકવીડ, મેક્સિકન સનફ્લાવર, કોસમોસ, મોસવરબેના છોડ વાવવામાં આવ્યા. પતંગિયા, ભમરો અને મધમાખી આકર્ષાય તેવા અહીં 25થી વધુ છોડ વવાશે. જેમાં લેન્ટેના, સૂર્યમુખી, કોસમોસ, જીનિયા, જુઇ, ગલગોટો અને તેમાં પણ હાથીસૂંઢી, ઘૂઘરો એ પતંગિયાને સૌથી પ્રિય છોડ છે. કેમ કે આ દરેક તેનું ભાવતું ભોજન કહી શકાય. મોટાભાગે લીંબુના વૃક્ષમાં જે ઇયળ જોવા મળે તે પતંગિયાની હોય છે તેમાંથી કોસેટો બને અને પતંગિયું બહાર આવે છે. 25 છોડમાંથી કનક ચંપો, સુવર્ણ ચંપો, લેન્ટના અને જેકરંડા આ ચાર છોડ પુનાથી મગાવવામાં આવ્યા છે. જેમાં કનક ચંપો સૌથી મોંઘો હોય છે અને તેનું પાન થાળી જેટલું થાય છે. તે ફૂલ, છાંયો, ઓક્સિજન અને રાત્રે સુગંધ માટે મહત્ત્વનો છે. લેક્ચર દ્વારા કિચન ગાર્ડનની નિ:શુલ્ક માહિતી આપી, ટેરેસ પર શાકભાજીનું વાવેતર કરાશેબાલભવનના મનુભાઇ વોરા હોલમાં 1 મહિના બાદ રાજકોટની કોઇ પણ બહેનોને કિચન ગાર્ડન અંગેની નિ:શુલ્ક માહિતી આપવાનું શરૂ કરાશે અને હોલના ટેરેસ પર શાકભાજીનું વાવેતર પણ કરવામાં આવશે તથા બહેનોને વર્મી કમ્પોસ્ટ અને બિયારણની કિટ પણ વિનામૂલ્યે અપાશે. જેમાં ઉર્વેશ પટેલ એન્વાયરમેન્ટનું લેક્ચર, પ્રો.જિલેશ એન્ઝાઇન અને વર્મી કમ્પોસ્ટ, માલદેભાઇ ફળાઉ વૃક્ષને કેવી રીતે મેન્ટેન કરવા, મીરાબેન પરમાર હિન્દી ટ્રાન્સલેશન ઓફિસર અને નવનીતભાઇ અગ્રાવત સંપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી સંભાળશે. પતંગિયાની પ્રજાતિઓ
રાજકોટમાં ગરમી ગિયર બદલશે:3-4 દિવસમાં પારો 40 ડિગ્રીએ પહોંચી જશે
કુદરત અત્યારે જાણે બે વિરોધાભાસી મિજાજ બતાવી રહી છે. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદના રૂપે થયેલી ‘મેઘવર્ષા’ એ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી, પરંતુ હવે સ્થિતિ પલટાઈ રહી છે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન હવે પશ્ચિમ તરફ ફંટાઈ જતાં તેની ગુજરાત પરની અસર શૂન્ય થઈ છે. પરિણામે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હવે ‘અગનવર્ષા’ની શરૂઆત થવા જઈ રહી છે. આગામી 3-4 દિવસમાં રાજકોટનું તાપમાન ફરી 40 ડિગ્રીની સપાટીને આંબી જાય તેવી પ્રબળ શક્યતા છે. રવિવારે રાજકોટનું લઘુતમ તાપમાન 21.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે હવે આકાશ ચોખ્ખું થતા અને ભેજનું પ્રમાણ ઘટતા સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળશે. આગામી 48 કલાકમાં જ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો તોતિંગ વધારો નોંધાશે. જે બાદ તાપમાન સ્થિર થશે, પરંતુ ગરમીનો અહેસાસ વધતો રહેશે. ખેડૂતો માટે રાહતના સમાચાર, વરસાદની શક્યતા ‘નહિવત’જગતના તાત માટે આ અઠવાડિયું રાહતભર્યું રહેશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સાત દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણ સૂકું રહેશે, એટલે કે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. માવઠાના ડરથી ફફડતા ખેડૂતો હવે પોતાનો પાક સુરક્ષિત રીતે સંભાળી શકશે. જો સાત દિવસ પછી કોઈ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, તો જ વાતાવરણમાં પલટો આવશે, ત્યાં સુધી માત્ર સૂકી ગરમીનો સામનો કરવો પડશે.
શિક્ષણ એ મોંઘી મિલકત બની ગઈ હોય તેવા સમયમાં, રાજકોટના મધ્યમ અને શ્રમિકવર્ગના પરિવારો માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) એક આર્થિક કવચ સાબિત થયું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષનું ચિત્ર જોઈએ તો એક આશ્ચર્યજનક આંકડો સામે આવે છે. જે શાળાઓમાં પગ મૂકતા પહેલા સામાન્ય માણસે બે વાર વિચાર કરવો પડતો હતો, તેવી રૂ.15 હજારથી માંડીને રૂ.1.50 લાખ સુધીની વાર્ષિક ફી ધરાવતી હાઈ-ફાઈ સ્કૂલોમાં 27,000થી વધુ બાળકો આજે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. જો આ 27,000 બાળકોએ ખાનગી ક્વોટામાં પ્રવેશ લીધો હોત, તો સરેરાશ ફી મુજબ રાજકોટના વાલીઓએ પાંચ વર્ષમાં અંદાજે રૂ.50 કરોડથી વધુની માતબર રકમ સ્કૂલના કાઉન્ટર પર જમા કરાવવી પડી હોત, પરંતુ RTEના અમલીકરણને કારણે આ 50 કરોડ રૂપિયા મધ્યમવર્ગના વાલીઓના ખિસ્સામાં બચ્યા છે. આ રકમનો ઉપયોગ આજે પરિવારો પોતાના ઘરના અન્ય સપનાઓ પૂરા કરવામાં કે બાળકોના ઉજ્જવળ ઉચ્ચ અભ્યાસ માટે કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 5000થી વધુ બેઠકો પર RTE હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પણ દર વર્ષે હજારો એવા પરિવારોની જીત છે જેઓ પોતાના સંતાનોને શહેરની શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ આપવા માગતા હતા. સ્માર્ટ ક્લાસ, રમતગમતના મેદાનો અને આધુનિક લાઇબ્રેરી ધરાવતી શાળાઓમાં જ્યારે મજૂરનો દીકરો અને ઉદ્યોગપતિનું સંતાન એક જ બેન્ચ પર બેસીને ભણે છે, ત્યારે સામાજિક સમાનતાનું સાચું ચિત્ર ઉપસે છે. કિસ્સો-1 | ખિસ્સા ખાલી હતા, પણ દીકરાનું નસીબ ભરેલું નીકળ્યુંરિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા એક વાલી જણાવે છે કે, દીકરાને મોટી સ્કૂલમાં ભણાવવાની ઈચ્છા તો હતી પણ હિંમત નહોતી. RTEમાં ફોર્મ ભર્યું અને નંબર લાગી ગયો. આજે મારો દીકરો ટાઈ-બેલ્ટ લગાવીને સ્કૂલે જાય છે ત્યારે ગર્વ અનુભવાય છે. જે ફી મારે ભરવાની હતી તે હવે હું તેના ભવિષ્ય માટે બેંકમાં જમા કરું છું. કિસ્સો-2 | પતિના અવસાન પછી ભણતર છૂટી જશે એવો ડર હતોરૈયા રોડ પર રહેતા ગીતાબેન (નામ બદલ્યું છે) જેમના પતિનું અવસાન કોરોનાકાળમાં થયું હતું. તેઓ સિલાઈ કામ કરે છે. દીકરાને પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવવાની તેમની ઈચ્છા અધૂરી રહી જાય તેમ હતી. ઘરનું ભાડું ભરવું કે દીકરાની સ્કૂલની ફી? આ સવાલ રોજ સતાવતો, પછી RTEમાં એડમિશન મળ્યું ત્યારથી ફી ભરવાની ચિંતા જ દૂર થઇ ગઈ. RTEનું રાજકોટ જિલ્લાનું 5 વર્ષનું સરવૈયું
એક સામાન્ય ક્ષણમાંથી જન્મેલો એક અસામાન્ય વિચાર, પરિવાર સાથે જમવા ગયેલા એક યુવાને જ્યારે એક ગરીબ બાળકની આંખોમાં ભૂખ જોઈ, ત્યારે એના અંતર આત્માએ તેને અંદરથી ઝંઝોળી નાખ્યો હતો. એ જ લાગણીએ 12 વર્ષ પહેલાં મિત્રોને સાથે જોડ્યા અને આજે આ વિચાર એક સુંદર સેવાયજ્ઞમાં પરિવર્તિત થયો છે. રાજકોટના સાત યુવાનોનું આ ગ્રૂપ દર મહિને બે વખત શહેરના રૈયાધાર, મોરબી રોડ અને યુનિવર્સિટી રોડ જેવા વિસ્તારોની ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકો સહિત આશરે 600 લોકોને પ્રેમથી જમાડે છે. અહીં માત્ર ભોજન નથી આપવામાં આવતું, અહીં લાગણી વહેંચાય છે, માનવતા જીવંત થાય છે. આ મિત્રોમાં કોઈ ધંધાર્થી છે, કોઈ બેંક કર્મચારી છે તો કોઈ એડવોકેટ છે. પોતાની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ તેઓ સેવા માટે સમય ફાળવે છે. મહિને બે રવિવાર પરિવાર માટે અને બે રવિવાર આ સેવાકાર્ય માટે ફાળવીને તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવે છે. બાળકોને શું ગમે છે તે ખાસ ધ્યાનમાં રાખીને પાઉંભાજી જેવી ભાવતી વાનગીનું જમણવાર યોજાય છે. ઉનાળામાં બાળકોને ગોલા ખાવાની મજા મળે તે માટે આ યુવાનો પોતે જ ગોલા બનાવવાનું મશીન લાવી ચૂક્યા છે. હવે તેઓ પોતાના હાથથી ગોલા બનાવીને બાળકોને ખવડાવે છે અને તે ક્ષણે બાળકોના ચહેરા પર દેખાતી ખુશી જ તેમના માટે સૌથી મોટો આનંદ બને છે. દર મહિને આ યુવાનો આશરે 16 વિધવા અને જરૂરિયાતમંદ પરિવારોને રાશનની કિટ આપે છે. કિટમાં ઘઉં, ચોખા, ગોળ, તેલ, પૌવા, મમરા અને મસાલા સામેલ હોય છે. આ સહાય માત્ર ખોરાક નથી, પરંતુ મુશ્કેલીમાં એક મજબૂત સહારો અને આશાનો સંદેશ છે. ખાસ વાત એ છે કે, આ યુવાનો કોઈ નામ કે પ્રસિદ્ધિ પાછળ સેવા કાર્ય નથી કરતા, જ્યારે તેમના ગ્રૂપનું નામ પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ નમ્રતાથી કહ્યું,“આ સેવા નામ માટે નથી.” પોતાનો ફોટો કે ઓળખ જાહેર કરવાની પણ તેમણે ના પાડી. આજના સમયમાં જ્યાં નાની મદદ પણ દેખાડવામાં આવે છે, ત્યાં આ યુવાનો નિ:શબ્દ રીતે સેવા કરીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
ભાસ્કર વિશેષ:બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પહેલી વાર 5 મહિલા પ્રતિનિધિ મળ્યાં
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં 18 જનરલ સીટ અને 5 મહિલા અનામતની સીટ જાહેર કરાઈ છે. 12 દિવસની લાંબી મતગણતરી બાદ જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે માત્ર વિજેતાઓના નામ જ નહીં, પણ ન્યાયિક લોકશાહીનો એક નવો ચહેરો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક હસ્તક્ષેપ અને નિર્દેશોને પગલે પ્રથમવાર 25 સભ્યની બોડીમાં 5 મહિલા પ્રતિનિધિ વિજયી થયાં છે. વડોદરાનાં નિમિષા ધોત્રેએ મહિલા ક્વોટામાં 2 હજારથી વધુ મતો મેળવ્યાં છે, જ્યારે વંદના ભટ્ટ, હીરલ પાનવાલા, અમૃતા ભારદ્વાજ અને પ્રીતિ જોષીએ મહિલા અનામતના ક્વોટામાં જીત મેળવી હતી. મહિલાઓ આ વ્યવસાયમાં ઓછી હોવાથી ભરોસો કેળવવો એ પડકાર વકીલનો વ્યવસાય પુરુષપ્રધાન છે, જેમાં હજી મહિલાઓની સંખ્યા ઓછી છે. ક્રિમિનલ કેસની પ્રેક્ટિસમાં પણ મહિલાઓ ઓછી છે ત્યારે ભરોસો જીતવો ખૂબ મોટી ચેલેન્જ હતી અને મને યોગ્ય ગણીને વિજેતા બનાવીએ મારા માટે ખૂબ ગર્વની વાત છે. > અમૃતા ભારદ્વાજ મારા માટે સંગઠન શક્તિ ખૂબ મહત્ત્વની છે, એ જ મારી જીત રાજપીપળા બારમાંથી સભ્ય પદ નોંધાવી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સ્થાન મેળવ્યું આ માટે હું નર્મદા જિલ્લાની આભારી છું. પ્રોટેક્શન એકટ હોય કે અન્ય કોઈ મુદ્દો હોય કામ કર્યું છું. મારા માટે સંગઠન શક્તિ મહત્વની છે. > વંદના ભટ્ટ પહેલી વાર સમાનતાની રૂએ આગળ વધવાની તક મળી છે પ્રથમ વાર સમાનતાની રુએ આગળ વધવાની તક મહિલાઓને આપવામાં આવી છે. મહિલાઓ પણ ન્યાય આપી શકે છે, મેનેજમેન્ટ કરી શકે છે. જો મહિલાઓ ઘર ચલાવી શકતી હોય તો ન્યાય પણ આપી શકે. > પ્રીતિ જોષી સૌથી નાની ઉંમરે પ્રતિનિધિત્વ કરવાની તક મળી તમામ જગ્યાએ મહિલા પ્રતિનિધિત્વ હોવું જોઈએ. સૌથી નાની ઉંમરે તમામ વકીલો અને ખાસ કરીને મહિલા વકીલો માટે કામ કરવાની તક મળી છે. સુરત, દક્ષિણ ગુજરાતમાં મહિલા વકીલો વધારે છે, પણ અફસોસ છે કે જેટલી મહિલા વકીલો છે તેટલા મત મળ્યા નથી. > હિરલ પાનવાલા ‘વકીલના વ્યવસાયમાં જેન્ડરનું મહત્ત્વ નથી’ તમામ કોર્ટમાં જઈ પ્રચાર કર્યો. વકીલોની તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો છે, જેના કારણે જંગી મત મળ્યા. વકીલાતના વ્યવસાયમાં જેન્ડરનું મહત્ત્વ નથી, તમામ સમાન છે. મારી જીતમાં જેટલું યોગદાન મહિલાનું છે એટલું જ પુરુષ વકીલોનું છે. > નિમિષા ધોત્રે
કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં 6 માસમાં સેવા બંધ થશે:ITIમાંથી લર્નિંગ લાઇસન્સ આપવાનું કામ બંધ કરી દેવાશે
ઘરે બેઠા ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ લેવાનું ચલણ વધે તે માટે વાહન વ્યવહાર વિભાગે આઈટીઆઈમાંથી નીકળતા લાઇસન્સને બંધ કરવા નિર્ણય લીધો છે. 28 ફેબ્રુઆરીએ આઈટીઆઈનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર વિભાગે રિન્યુ કર્યો નથી. જોકે આરટીઓનાં સૂત્રોના જણાવ્યાનુસાર, હજુ છ મહિના સુધી આઈટીઆઈમાંથી લર્નિંગ લાઇસન્સ અપાય તેવી વ્યવસ્થા ચાલુ રખાશે, પણ આ અંગે અંતિમ નિર્ણય વાહન વ્યવહાર વિભાગ લેશે. તેઓ દ્વારા પત્ર લખી કરાર રિન્યુ કરવામાં આવશે. અમદાવાદનાં પાંચ આઈટીઆઈ સેન્ટર પરથી દરરોજ 460 અને ઘરે બેઠા અંદાજિત 280 લર્નિંગ લાઇસન્સ લેવાય છે. ધીમે ધીમે આરટીઓની તમામ કામગીરીને ઓનલાઇન ધોરણે ટ્રાન્સફર કરી દેવાય તે રીતે વાહન વ્યવહાર વિભાગ કામગીરી કરશે. ઓનલાઇન કામગીરી થાય તો આ પડકારો
માધુપુરાના ગોડાઉનમાં દિલ્હીથી લેડીઝ ચંપલની આડમાં લવાયેલી દારૂની 32 બોટલ પકડાઈ છે. માધુપુરા ગુજરાત જીનિંગ મિલમાં આવેલા ગુડ્સ ફ્રેઇગ્ટ કેરિયર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આવેલા શંકાસ્પદ પાર્સલમાં દારૂ આવ્યો હોવાની માહિતીના આધારે પીસીબીએ તપાસ કરી હતી. જેમાં એક પાર્સલને ચેક કરતા તેમાંથી લેડીઝ ચંપલની આડમાં આવેલી દારૂની 32 બોટલ મળી હતી. પાર્સલ દિલ્હીના જૈન એન્ટરપ્રાઈઝે મોકલ્યું હતું. જ્યારે અમદાવાદમાં આ પાર્સલ નીલમ ફૂટવેરના નામથી આવ્યું હતું. કાગડાપીઠમાંથી દારૂની 1344 બોટલ સાથે 1 પકડાયોકાગડાપીઠના લાટીબજાર શંકર ભગવાનના મંદિર સામેની એક દુકાન બહારથી ક્રાઈમ બ્રાંચની ટીમે વિદેશી દારૂની 1344 બોટલ (કિંમત રૂ.2.63 લાખ) સાથે રીતેશ સથવારાને ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો રાજસ્થાનનો એક બુટલેગર ગાડીમાં આપી ગયો હતો. જ્યારે રિતેશ આ દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
ડ્રાઇવિગ ટેસ્ટનું પરિણામ:4 વર્ષમાં 51231 મહિલા અને 34142 પુરુષ ડ્રાઈવ ટેસ્ટમાં ફેલ
વર્ષ 2022થી 2025 સુધી છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદ અને વસ્ત્રાલ આરટીઓ ખાતે કુલ 7,19,023 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ ટેસ્ટમાં 85,355 લોકો ટેસ્ટમાં નાપાસ થયા હતા 34,142 પુરૂષો અને 51,231 મહિલાઓ નાપાસ થયા હતા. જ્યારે સૌથી વધુ 3,82,364 લોકોએ અમદાવાદ આરટીઓ અને 3,36,659 લોકોએ વસ્ત્રાલ આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો હતો. વર્ષ દરમિયાન અપાતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં 40 ટકા મહિલાઓ અને 60 ટકા પુરુષો નાપાસ થતા હોય છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં સૌથી વધુ લોકોના નિયત સમય મર્યાદામાં બોક્સ અને રિવર્સ કાર પાર્કિંગ ન કરી શકવાના કારણે નાપાસ થતા હોય છે. જોકે લોકોના નાની-મોટી ભૂલને સુધારવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ઇન્સ્પેક્ટરોની હાજરી હોય છે અને તેઓ લોકોને મદદ પણ કરતા હોય છે. તેમ છતા પણ મોટા પ્રમાણમાં લોકો ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થતા હોય છે. જે લોકોને ટેસ્ટ ટ્રેક માટેની તૈયારી કરવી હોય તેઓ યુ-ટ્યુબ પર પણ વીડિયો જોઇને શીખી શકે છે અને ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાં પણ ટેસ્ટ ટ્રેક પર જઇને પ્રેક્ટિસ કરી શકે છે. ઉપરાંત અમદાવાદમાં જ્યારે એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ થશે ત્યારે નાપાસ થનારા લોકોની સંખ્યા વધી શકે છે. જે અરજદાર તૈયારી કરીને આવે છે તે નાપાસ થતા નથીજે અરજદારો તૈયારી કરીને આવે છે તેઓ નાપાસ થતા નથી, તૈયારી વગરના નાપાસ થાય છે અમદાવાદના ઇન્ચાર્જ આરટીઓ નીરવ બક્ષીએ જણાવ્યું કે, જે લોકો સરખી રીતે તૈયારી કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે તેઓ સમયસર રીતે પાસ થઇ જાય છે. તૈયારી વગર જે લોકો આવતા હોય તેઓ જ નાપાસ થતા હોય છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર નિયમો પ્રમાણે લોકોની ટેસ્ટ પહેલાં સમજાવવામાં પણ આવે છે તેમ છતાં તેઓ નાપાસ થાય છે. જોકે અમદાવાદ સહિતના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક નિષ્પક્ષપણે ડ્રાઇવિંગ સ્કિલની તપાસ કરવામાં આવતી હોય છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થવાનાં મુખ્ય કારણો
રેલવેએ આગામી ઉનાળુ સિઝન અને મુસાફરોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામથી ઉપડતી 20 જેટલી મહત્વની ટ્રેનોમાં કાયમી ધોરણે એક-એક વધારાનો થર્ડ એસી કોચ જોડવાની જાહેરાત કરી છે. આ તમામ કોચ જોડાતા લગભગ 1500થી વધુ પેસેન્જરોને ફાયદો મળશે. વેકેશનમાં વતન જનારા મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા 11 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે એક થર્ડ એસી કોચમાં 72થી 80 બેઠકો હોય છે. રેલવે દ્વારા 20 ટ્રેનોમાં એક વધારાનો કોચ જોડવામાં આવતા, દરેક ટ્રેનના ફેરા દીઠ 72થી 80 મુસાફરોનો વધારો થશે. જેથી હજારો મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જશે. અમદાવાદથી પ્રયાગરાજ, વારાણસી, પટના અને કટરા લાંબા અંતરની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ હોવાથી વધારાના કોચ આશીર્વાદરૂપ સાબિત થશે. મેથી આ 20 ટ્રેનોમાં વધારાના થર્ડ એસી કોચ જોડાશે 11 જોડી સ્પેશિયલ ટ્રેનો હવે જુલાઈ સુધી દોડશે11 જોડી સ્પેશિયલ ટ્રેનોના સમયમાં વધારો કરાયો છે. જેમાં બાંદ્રા-ભાવનગર, બાંદ્રા-ભુજ, બાંદ્રા-ગાંધીધામ, બાંદ્રા-વેરાવળ, ભાવનગર-ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી બોટાદ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનો હવે જુલાઈના અંત સુધી દોડાવવામાં આવશે.
ભાસ્કર વિશેષ:કચ્છમાં બેન્કોની તિજોરી છલકાઈ છતાં પણ ધિરાણમાં કંજૂસી
તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં રજૂ થયેલા સામાજિક-આર્થિક સમીક્ષા રિપોર્ટ અને ‘સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટી’ (એસએલબીસી) ના સપ્ટેમ્બર 2025 સુધીના આંકડાઓએ કચ્છ જિલ્લાની બેન્કિંગ વ્યવસ્થાનું એક અત્યંત રોચક અને આશ્ચર્યજનક ચિત્ર રજૂ કર્યું છે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓની કોમર્શિયલ બેન્કોની કામગીરીનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે, કચ્છના લોકોએ બેંકોમાં બચત અને થાપણોના ઢગલા કરી દીધા છે, પરંતુ તેની સામે સ્થાનિક સ્તરે વેપાર-ઉદ્યોગ કે વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન (ધિરાણ) આપવામાં બેંકો ઘણી જ ઉદાસીન અને કંજૂસ સાબિત થઈ રહી છે. 432 બેન્ક શાખાઓ સાથે કચ્છ ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમે છે. જિલ્લાની આર્થિક સદ્ધરતાનો સૌથી મોટો પુરાવો એ છે કે 63,569 કરોડ રૂપિયાની માતબર થાપણો સાથે કચ્છ રાજ્યમાં 5મા ક્રમે આવે છે (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પછી). NRI ભંડોળ અને સ્થાનિક બચતના કારણે કચ્છના લોકોની બેંકોમાં બચત કરવાની ક્ષમતા અત્યંત મજબૂત છે. 35,191 કરોડ રૂપિયાના ધિરાણ સાથે કચ્છ આ બાબતમાં પણ રાજ્યમાં 5મા ક્રમે છે. 5 વર્ષના કચ્છના થાપણ-ધિરાણના લેખાં જોખાં થાપણ-ધિરાણના રેશિયાની ધીમી ગતિ સૌથી મોટી ચિંતા - નીચો ક્રેડિટ ડિપોઝિટ રેશિયોઆ રિપોર્ટનું સૌથી આશ્ચર્યજનક પાસું ક્રેડિટ ડિપોઝિટ રેશિયો છે. ગુજરાત રાજ્યનો સરેરાશ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 90.36% છે, જેની સરખામણીમાં કચ્છનો રેશિયો માત્ર 55.36% છે. આનો સીધો અર્થ એ છે કે, કચ્છની બેંકોમાં જમા થતા દર 100 રૂપિયા સામે બેંકો માત્ર 55 રૂપિયા આસપાસ જ ધિરાણ (લોન) પેટે આપે છે. આ દર્શાવે છે કે બેંકો પાસે પુષ્કળ ભંડોળ જમા થાય છે, પરંતુ તે ભંડોળનો ઉપયોગ સ્થાનિક વિકાસ કે ધિરાણ માટે પૂરતા પ્રમાણમાં થઈ રહ્યો નથી. કચ્છ કરતાં માત્ર 7 જિલ્લાઓનો ખેડા, તાપી, ગાંધીનગર, આણંદ, નવસારી, પોરબંદર અને ડાંગ સીડી રેશિયો ઓછો છે. સૌથી વધુ સીડી રેશિયોથી લઈને સૌથી ઓછા રેશિયોની ગણતરી કરતા, કચ્છ રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાં 26th ક્રમે આવે છે.
ચીનથી આયાત કરાયેલાં 9.25 કરોડના 11 હજાર વોકીટોકી સેટ જપ્ત
બાવન હજાર હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરાઈ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારુપ વોકીટોકીની 8 કન્ટેનર ભરીને આયાત કરનારા પિતા-પુત્રની ધરપકડ મુંબઈ: નવી મુંબઈના ન્હાવા શેવા બંદર ખાતે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ રુ. ૯.૨૫ કરોડના ૧૧ હજારથી વધુ પ્રતિબંધિત વોકી- ટોકી સેટ અને બાવન હજારથી વધુ સેકન્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ (એચડીડી) જપ્ત કર્યા હતા. આ કેસમાં આયાત કરતી કંપનીઓના માલિક તરીેકે ઓળખાતા પિતા પુત્રની જોડીની ધરપકડ કરવામાં આવી હતી.
મંડે પોઝિટીવ:રાંચરડાના હનુમાનજી મંદિરમાં 3 રામરોટી સેવારથ, રોજ 500 લોકોને પ્રસાદ વિતરણ
જમણા હાથે દાન આપીએ તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. દાન આપવાની આ યોગ્ય પદ્ધતિ છે અને આ જ રીતને રાંચરડામાં આવેલું સંકટમોચન મહાવીર હનુમાન મંદિરે આત્મસાત્ કરી છે. મંદિર દ્વારા સેવાકાર્યો કરાય છે પરંતુ તેમાં ક્યાંય દાતા તરીકે મંદિરના સંચાલકો પોતાનું નામ સુધ્ધાં આપતા નથી. એટલું જ નહીં, નામનો આગ્રહ રાખનારા દાતાઓનું દાન પણ સ્વીકારાતું નથી. મંદિરના સંચાલક ડૉ. પ્રવીણ ગર્ગનું કહેવું છે કે મહાબલિ હનુમાનજીના પ્રગટ અવતાર સમા નીમ કરોલી બાબાની પ્રેરણાથી આ મંદિરની સ્થાપના કરાઈ છે એટલે તેમના જ આદર્શોને ધ્યાનમાં રાખીને દાન અને સેવાાર્યોની સરવાણી વહાવાઈ રહી છે. સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા દૈનિક 500 પરિવારને સવારે અને સાંજે ભોજનપ્રસાદનું વિતરણ કરાય છે. આ માટે 3 રામરોટી સેવારથ શહેરમાં ફેરવવામાં આવે છે. ભોજનપ્રસાદના વિતરણમાં પણ કોઈ શ્રમિક કે ગરીબ પરિવારો પરવશ ન થઈ જાય તેનું ધ્યાન રખાય છે. આ માટે ત્રણેય રથ વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવે છે. ભોજનની સાથેસાથે ગરીબ બાળકોને કપડાં, સ્ટેશનરી, રમકડાં અને જીવનોપયોગી વસ્તુઓ અપાય છે અને વયસ્કોને વાસણ, કરિયાણાનું પણ વિતરણ કરાય છે. અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. 1 વર્ષથી દર રવિવારે સુંદરકાંડના પાઠ થાય છેમંદિરમાં 1 વર્ષથી દર રવિવારે સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. ઉપરાંત નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સાથેસાથે વિવિધ ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. આ સિવાય પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થીઓ પણ મંદિરમાં આવીને ભજન-કીર્તન કરે છે. વૃદ્ધાશ્રમના વડીલોને પણ મંદિરમાં બોલાવીને સેવા કરવામાં આવે છે. મંદિરમાં દર બુધવાર અને રવિવારે મેડિકલ ચેક-અપ કરવા સાથે ઉપયોગી દવાનું વિતરણ પણ થાય છે. હનુમાનજીની વિશ્રામ મુદ્રામાં પ્રતિમા2024ની 25 ઑગસ્ટે રાંચરડામાં આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાન દાદાની 6 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી 1.5 ટન વજનની વિશ્રામ મુદ્રામાં પ્રતિમા છે. પાતાળલોકમાં હનુમાનજીએ રાવણના ભાઈ અહીરાવણનો વધ કરીને પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજીને બંધનમાંથી મુક્ત કરાવ્યા પછી વિશ્રામ કર્યો હતો. સાથે હનુમાનજીના પુત્ર મકરધ્વજની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
UGCની નવી ગાઈડલાઈન:હવે 12 મિનિટની દોડ, પુશ-અપ જેવી શારીરિક કસોટીના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
યુજીસીએ કોલેજો કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે શારીરિક શિક્ષણને અનિવાર્ય બનાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. એનઈપી-2020ને ધ્યાનમાં રાખીને લાગુ કરાયેલી માર્ગદર્શિકા મુજબ દરેક યુનિવર્સિટી-કોલેજોમાં.હવે 12 મિનિટની દોડ, પુશ-અપ્સ, સિટ અપ્સ જેવી શારીરિક કસોટીમાં દેખાવના આધારે જ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ અપાશે. યુજીસીના જણાવ્યાં પ્રમાણે શારીરિક પ્રવૃત્તિને મૂલ્યાંકન પદ્ધતિ સાથે જોડી દેવાશે. સહન શક્તિ અને સંકલન ક્ષમતાના આધારે વિદ્યાર્થીની લાયકાત ગણાશે. વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિઓ કરવી જ પડશે‘અત્યાર સુધી કોલેજોમાં રમતવીર વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ સુધી સીમિત હતા. યુજીસીની ગાઈડલાઈનના પગલે સૌ પ્રથમવાર કોલેજોમાં સ્વાસ્થ્ય વર્ધક રમતો રમાડાશે. પરિણામે દરેક વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિઓ કરવી પડશે. શું છે ‘કૂપર ટેસ્ટ’ અને શિક્ષણમાં તેનું મહત્ત્વ?12 મિનિટની દોડ પાછળ વૈજ્ઞાનિક અભિગમ છે. ડો. કેનેથ કૂપરે 1968માં અમેરિકન આર્મી માટે આ ટેસ્ટ તૈયાર કરી હતી. તે ફેફસાં દ્વારા ઓક્સિજન લેવાની મહત્તમ ક્ષમતા માપે છે. એન્ડોર્ફિન હોર્મોન્સ મુક્ત થતા યાદશક્તિ વધારે છે. આદેશને પગલે સંતુલિત વ્યક્તિત્વનું નિર્માણ થશેહાલમાં વિવિધ કોલેજોમાં અભ્યા કરતા વિદ્યાર્થીઓની ફિઝિકલ એક્ટિવિટિસનુ પ્રમાણ ઓછુ છે, મોટાભાગે બાળકો એસી રુમમાં બેસીને અભ્યાસ કરે છે.આવી પરિસ્થિતિમાં યુજીસીની ગાઈડ લાઈન મુજબ જો કોલેજોમાં વિવિઝ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટિસ થશે તો સ્વભાવિક રીતે તેમના સંતુલિત વ્યક્તિત્વનુ નિર્માણ થશે. સર્વાંગીણ વિકાસ થશે. યુજીસીની ગાઈડ લાઈનનો નિયત ધારાધોરણ મુજબ અમલ કરાશે.’> ડો નીરજા ગુપ્તા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી 12 મિનિટની ફિટનેસ ફોર્મ્યુલા શું છે?
ઈડીનો ડર દેખાડી ધનખડનું રાજીનામું લેવાયાનો રાઉતનો દાવો
રાઉતનાં અનલાઈક્લી પેરેડાઈઝ પુસ્તકમાં દાવો રાજ્યસભામાં સરકારના ઈશારે વર્તવા ના પાડી દેતાં એક પ્રોપર્ટી ફાઈલ ખોલવામાં આવી હતી મુંબઈ: તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ઈડી કાર્યવાહીનો ડર દેખાડી તેમનું તત્ક્ષણ રાજીનામું લઈ લેવાયું હોવાનો દાવો શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે તેમના પુસ્તકમાં કર્યો છે. રાઉતે પત્રાચાલ રિડેવલપમેન્ટ કેસમાં જેલમાં જવું પડયુું હતું. આ ૧૦૦ દિવસના જેલવાસ દરમિયાન તેમણે 'નરકચા સ્વર્ગ' નામનું મરાઠી પુસ્તક લખ્યું હતું.
પ્રગતિશીલ ખેડૂત:સુરેન્દ્રનગરના ખેડૂતે ઇઝરાયેલી લીલા અંજીરની ખેતી કરી મબલખ આવક મેળવી
સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામના વતની અને મિલનભાઇ રાવલે પોતાના 20 વીઘાના ફાર્મમાં 8 હજાર જેટલા લીલા અંજીરનું વાવેતર કરી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. માત્ર 9 માસમાં પ્રતિદિન 100 કિલો ઉત્પાદન મેળવતા આ પ્રગતિશીલ ખેડૂતનું લક્ષ્ય રોજના 300 કિલો અંજીર ઉત્પાદનનું છે. તેમણે સૂકી આબોહવાવાળા પંથકમાં આ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી તેની સમગ્ર જાણકારી તેમના જ શબ્દોમાં... વઢવાણ તાલુકાના કટુડા ગામમાં અમારી જમીન આવેલી છે. જિલ્લામાં દર વર્ષે બદલાતા હવામાન, માવઠાને કારણે મોટી રકમનો ખર્ચ કરવા છતાં પરંપરાગત ખેતીમાં પાક નિષ્ફળ જવાનો ખૂબ ભય રહે છે. આથી મેં કંઇક અલગ રીતે ખેતીને ડેવલોપ કરવા માટે વિચારી ખૂબ અભ્યાસ પછી નિષ્ણાતોની સલાહ લઇ 20 વીઘા જમીનમાં ઇઝરાયેલી લીલા અંજીરના 8 હજાર રોપાનું વાવેતર કર્યું. વાવેતરના 20 વર્ષ સુધી ફળ આપતા આ પાકની બીજી વિશેષતા એ છે કે 8 માસમાં તેનું ઉત્પાદન શરુ થઇ જાય છે. શરૂઆતના સમયમાં ખુબ મહેનત કરવી પડી પરંતુ પ્લાન્ટ સેટ થઇ ગયા બાદ અત્યારે દરરોજ 100 કિલો અંજીરનો પાક ઉતરે છે. એક રોપામાંથી વર્ષે 20 કિલો જેટલું ઉત્પાદન મળી શકે છે. 8 હજાર રોપાનું ઉત્પાદન 160 ટન જેટલું થાય છે. વર્તમાન સમયે પ્રતિદિન 100 કિલો અંજીરનું ઉત્પાદન થાય છે. પરંતુ આગામી સમયમાં 300 કિલો સુધી ઉત્પાદન પહોચશે. ઓર્ગેનિક અંજીરની ખૂબ માંગ છે ત્યારે મિલનભાઇ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ અંજીરનું વેચાણ કરે છે. આગામી સમયમાં તેઓ વિદેશમાં નિકાસ કરવાની યોજના ધરાવે છે. -એક રોપામાંથી વાર્ષિક અંદાજે 20 કિલોનું ઉત્પાદન- પ્રતિકૂળ વાતાવરણથી બચવા ઇન્સેટપ્રુફ જાળીથી નેટહાઉસ બનાવવું જોઇએ.-છોડને જરૂર મુજબ પોષણ મળે તે માટે ટપક પદ્ધતિ અપનાવવી.- વેધર સિસ્ટમથી દર 5 મિનિટે જમીનમાં રહેલા ભેજનું માપન કરે છે.- એક રોપામાંથી વર્ષે અંદાજે 20 કિલો ઉત્પાદન થાય છે.- નિકાસ થાય તો આ અંજીરનો ભાવ કિલોએ રૂ.500 થી રૂ.700 મળે આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત.... 98790 24217
DM (ડોક્ટરેટ ઓફ મેડિસિન) અને MCh (મેજિસ્ટર ચિરર્જીએ) જેવી સુપર-સ્પેશિયલિટી સીટો આજના સમયમાં કોઈપણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે અત્યંત મહત્વપૂર્ણ મનાય છે. MD (ડોક્ટર ઓફ મેડિસિન) અને MS (માસ્ટર ઓફ સર્જરી) પૂર્ણ કર્યા બાદ ત્રણ વર્ષનો ડીએમ અને એમસીએચનો વિશેષ અભ્યાસ કરવો પડે છે. ગુજરાતમાં કુલ 147 સીટ ઉપલબ્ધ છે, જેમાંથી 102 સીટ માત્ર સરકારી બી.જે. મેડિકલ કોલેજમાં છે. સમગ્ર દેશમાં માત્ર 5 હજાર સીટ છે. DM-MChની લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ અનુક્રમે 26 નવેમ્બર અને 18 ડિસેમ્બરે લેવાઈ હતી જ્યારે 8 જાન્યુઆરીએ પરિણામ જાહેર થયું હતું. જિલ્લા સ્તરે આરોગ્ય સેવાઓ મજબૂત બને તે હેતુસર ડૉક્ટરોને બોન્ડેડ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂકના ઓર્ડર બહાર પાડવાના હતા. જોકે આરોગ્ય વિભાગે અત્યાર સુધી ડૉક્ટરોના ઓર્ડર જારી કર્મી નથી. MD-MS પછીનું સર્વોચ્ચ તબીબી શિક્ષણ મેળવ્યા છતાં ડૉક્ટરો અઢી મહિનાથી બેરોજગાર બેઠા રહેવાની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ રાજ્યમાં સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અછત છે જેના કારણે જીવલેણ બીમારીઓથી પીડાતા ગંભીર દર્દીઓનું સમયસર નિદાન અને સારવાર મુશ્કેલ બની રહી છે. પરિણામે ગુજરાતમાં તબીબી સંશોધન તથા નવી સારવાર પદ્ધતિઓના વિકાસ પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. DM અને MCh સીટો માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આરોગ્યસેવાની ગુણવત્તા સુધારવા, દર્દીઓને અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવવા અને હોસ્પિટલોને ટર્શિયરી કેર સંસ્થા તરીકે વિકસાવવા માટે અનિવાર્ય છે. કોલેજો તરફથી ડેટા ગાંધીનગર મોકલી દેવાયો છે, પણ ગાંધીનગરથી ઓર્ડર થયા નથી. આરોગ્ય વિભાગે બ્રોડ સ્પેશિયાલિટી MD અને MS થયેલા ડૉક્ટરોના પણ બે મહિનાથી બોન્ડ જાહેર કર્યા નથી. સમગ્ર મામલે સરકારના એક પણ અધિકારી બોલવા તૈયાર નથી. DM / MCh (સુપર-સ્પેશિયાલિટી કોર્સ) MD / MS (પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ) સરકારની બેદરકારીના કારણે ડૉક્ટરો ઘરે બેસી રહ્યાસમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ એવી સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે કે સર્વોચ્ચ તબીબી શિક્ષણ મેળવ્યા છતાં ડૉક્ટરોને બે મહિના સુધી ઘરે બેસી રહેવું પડે છે. સુપર-સ્પેશિયાલિટી ધરાવતી હોસ્પિટલો દ્વારા હૃદયરોગ, કેન્સર, ન્યુરોલોજી, કિડની ટ્રાન્સપ્લાન્ટ, જટિલ સર્જરી અને ક્રિટિકલ કેર જેવી અદ્યતન સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બની શકે છે. ડૉક્ટરો બોન્ડેડ સેવા આપવા તૈયાર હોવા છતાં સરકારની વિલંબિત પ્રક્રિયાના કારણે તેમના અમૂલ્ય અઢી મહિના વ્યર્થ ગયા છે.
વિશ્વ હવામાન દિવસ:ગરમીથી ગુજરાતના જીડીપી પર રૂ. 2 લાખ કરોડનું જોખમ
દર વર્ષે 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ ઊજવાય છે. પરંતુ 21મી સદીમાં ગુજરાતના હવામાન ઘણુ બદલાયું છે. જેની અસર ખેતી, ઉદ્યોગો, જાહેર આરોગ્ય, દરિયાકિનારા પર થઇ છે. સરકારી વેબસાઇટ ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર મુજબ, વધતા તાપમાનના કારણે 2030 સુધીમાં ગુજરાતના જીડીપીમાં 2 ટ્રિલિયન એટલે કે 2 લાખ કરોડ રૂપિયા નુકસાન થવાનું જોખમ છે. આ ઉપરાંત સદીના અંત સુધી રાજ્યમાં 365 દિવસમાંથી 150 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાનું અનુમાન કરાયું છે. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં દિવસ અને રાતના લઘુત્તમ, મહત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીના દિવસો ઘટ્યા છે, પરંતુ ગરમ દિવસો સતત વધી રહ્યા છે. ચોમાસમાં 15% ઘટાડો થશે બદલતા ઋતુચક્રમાં ચોમાસાના દિવસો સતત ઘટી રહ્યા છે. 2040 સુધીમાં ગુજરાતમાં ચોમાસાના દિવસો 15% સુધી ઘટી જશે. આ ઉપરાંત અતિભારે વરસાદની ઘટનાઓ 70% સુધી વધવાનું જોખમ છે. 2050 સુધીમાં દરિયાઇ સ્તર 0.15 મીટર ઊંચુ આવશે. જ્યારે ખેતીમાં કામ કરતાં લોકો પર ભારે અસર થશે, 50% રોજગારી પર જોખમ ઉભું કરશે. દરિયાઇ વિસ્તારના 1 કરોડ લોકોને અસર 25 વર્ષમાં ઉનાળામાં સરેરાશ તાપામન 4.6 ડિગ્રી વધ્યું
ભૂવાની સમસ્યા બારમાસી થઈ:5 વર્ષમાં માત્ર 5 ઝોનમાં 332 ભૂવા પુરવા 19 કરોડ ખર્ચાયા
શહેરમાં ભૂવાની સમસ્યા ચોમાસા પૂરતી નહીં પણ બારમાસી બની ગઈ છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં 5 ઝોનમાં 332 ભૂવા પડ્યા છે. જેના રિપેરિંગ પાછળ મ્યુનિ.એ 18.92 કરોડ ખર્ચી નાખ્યા છે. ભૂવા ન પડે તે માટે મ્યુનિ.એ જૂની ગટરલાઈનો રિહેબ કરવાની કામગીરી શરૂ કરી છે. શહેરમાં પશ્ચિમ ઝોનમાં જ સૌથી વધુ 147 ભૂવા પડ્યા છે. જૂની જર્જરિત થયેલી ગટર લાઇનોને કારણે ભૂવા પડી રહ્યા છે. ત્યારે આ ગટર લાઈનોને સુદૃઢ કરવા તમામ ગટરલાઈન રિહેબ કરાઈ રહી છે. 132 ફૂટ રિંગ રોડ, પ્રભાત ચોક અને વેજલપુર એસપી ઓફિસ રોડ પર ગટર રિહેબની કામગીરી અંતિમ તબક્કામાં છે. કોટ વિસ્તાર અને મધ્ય ઝોનમાં ગટર લાઈનો અતિ જૂની હોવાથી ત્યાં લાઈનો બદલવાની પ્રક્રિયા ચાલુ છે. માત્ર પશ્ચિમ ઝોનમાં જ સૌથી વધુ 147 ભૂવા પડ્યા
શહેરમાં ઘાટલોડિયા, જોધપુરમાં 37.8 ડિગ્રી તાપમાન હોય ત્યાં બહેરામપુરા રિવરફ્રન્ટ, ઇસનપુર, દાણીલીમડા ચંડોળા, જેવા વિસ્તારમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. મ્યુનિ.એ એક સ્ટાર્ટઅપ સંસ્થા સાથે કરેલા એમઓયુ બાદ શહેરના વિવિધ વિસ્તારમાં ગરમીની સેટેલાઇટ મારફતે સમીક્ષા કરાઈ હતી. જેથી હીટવેવ દરમ્યાન આ વિસ્તારમાં લોકોને વધુ તકેદારી રાખવા માટે સૂચન કરી શકાય. આવા 200થી વધારે સ્પોટ શોધાયા છે. જ્યારે તે પૈકી 46 સ્પોટ એવા જ્યાં સામાન્ય ગરમી કરતાં 2થી 3 ડિગ્રી વધારે અનુભવાય છે. મ્યુનિ. દ્વારા સેટલિયો લેબ્સ નામના એક સ્ટાર્ટઅપ સાથે કરાયેલા એમઓયુ પ્રમાણે સેટેલાઇટ ઇમેજને આધારે શહેરના ક્યા વિસ્તારો સૌથી વધારે ગરમ રહે છે તે શોધવામાં આવ્યા છે. તે માટે પ્રતિદિન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પૂર્વમાં આ કારણોસર ગરમી વધુ વર્તાય છે આ છે સૌથી વધારે હિટ ધરાવતા વિસ્તારો
વાલીઓને રાહત:નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન-રિક્ષા ભાડાંમાં વધારો નહીં
મોંઘવારી અને વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધી એસોસિએશનની રવિવારે પાલડીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ જે ભાડું ચાલી રહ્યું છે તે જ યથાવત્ રખાશે. બેઠકમાં મોંઘવારી, ઇંધણના વધતા ભાવ અને વાલીઓની હાલતને ધ્યાનમાં રાખીને સર્વસંમતિથી ભાડાં ન વધારવાનો નિર્ણય કરાયો છે. યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે સીએનજી અને પેટ્રોલના ભાવમાં વધારો થવા છતાં, વાલીઓ પર વધારાનો બોજ ન આવે તે માટે જૂના દર ચાલુ રાખવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રમાં 11 જૂન 2024ના રોજ નક્કી કરાયેલા ભાડા દર જ લાગુ રહેશે. હાલ રૂ.600થી 1800 સુધી ભાડું લેવાય છે નોંધ : વિસ્તાર-સ્કૂલના અંતર મુજબ ભાડું અલગ હોઈ શકે છે. સીએનજીના ભાવ વધશે તો ફરી બેઠક બોલાવી પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશેજો આવનારા સમયમાં સીએનજીના ભાવમાં વધારો થશે તો ફરી બેઠક બોલાવી પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે. સ્કૂલ વાન-રિક્ષાચાલકોને આરટીઓના નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે. - ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ, પ્રમુખ સ્કૂલ વર્ધી એસોસિએશન
યુદ્ધની અસર:રોમટીરિયલ મોંઘું થતાં કેમિકલ ઈન્ડસ્ટ્રીને ફટકો, 40 ટકા યુનિટ બંધ થવાની ભીતિ
અમેરિકા-ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે અમદાવાદ કેમિકલ ઈન્ડસ્ટ્રી પર દેખાવા લાગી છે. ગેસ સપ્લાયમાં ઘટાડો અને ભાવમાં વધારો થતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્થિતિ યથાવત્ રહેશે તો એપ્રિલમાં 30-40 ટકા ઇન્ડસ્ટ્રી બંધ થવાની શક્યતા દેખાઇ રહી છે. ભારતનું વાર્ષિક કેમિકલ ઉત્પાદન આશરે 220 અબજ અમેરિકન ડોલર જેટલું છે, જેમાંથી 60 ટકા નિકાસ થાય છે. તાજેતરમાં રો મટીરિયલના ભાવમાં 10-40 ટકા સુધીનો વધારો નોંધાયો છે. હાલ રાજ્યમાં અંદાજે 1 હજાર કેમિકલ ઈન્ડસ્ટ્રી કાર્યરત છે. 10થી 15 ટકા યુનિટે પહેલાથી ઉત્પાદન બંધ કરી દીધું છે. ઉદ્યોગ સંગઠનોના મતે, પરિસ્થિતિ સુધરે નહીં તો મોટા પાયે યુનિટો બંધ થવાથી રોજગારી પર અસર પડશે. હાલમાં ગેસ સપ્લાય માત્ર 40 ટકા સુધી જૂના દરે અપાય છે, તેનાથી વધુ વપરાશ પર ડબલ ભાવ વસૂલાય છે. ગેસ સપ્લાય-વધતો ખર્ચ ઉદ્યોગો માટે ગંભીર પડકારહાલ 10-15 ટકા ઇન્ડસ્ટ્રી બંધ થઈ છે. હાલની સ્થિતિ યથાવત રહેશે તો એપ્રિલ સુધીમાં 30થી 40 ટકા યુનિટ બંધ થશે. ગેસ સપ્લાયમાં ઘટાડો, વધતો ખર્ચ-વૈશ્વિક અનિશ્ચિતતાથી કેમિકલ ઇન્ડસ્ટ્રી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. - ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ, કેમિકલ ગુજરાત યુદ્ધ લાંબું ચાલશે તો સ્થિતિ વધુ કપરી બનશેહાલ 40થી 50 ટકા સુધી પ્રોડક્શન રાખવાનો નિર્ણય લીધો છે. ગેસનો ઉપયોગ વધુ કરીએ તો ડબલ ચાર્જ લાગતા ખર્ચ વધે છે, જે કોઈને પોષાય તેમ નથી.જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો કેમિકલ હબને ગંભીર અસર પડશે. - યોગેશ પરીખ, પ્રમોટર, અવનિ ડાયકેમ
મ્યુનિ.એ મકરબા-વેજલપુરમાં ₹10.04 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘મહિલા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ સાકાર કરાશે. 4 માળના સંકુલમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કૂકિંગ, કેટરિંગ, સીવણ અને કમ્પ્યુટર જેવા વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમોની તાલીમ અપાશે. બિલ્ડિંગમાં વિશાળ ટ્રેનિંગ હોલ, આધુનિક રસોડા, ડાઇનિંગ એરિયા અને લિફ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને દિવ્યાંગો માટે ખાસ રેમ્પની વ્યવસ્થા પણ કરાઈ છે. 18 મહિનામાં પૂર્ણ થનાર આ પ્રોજેક્ટ સરખેજ અને આસપાસની હજારો મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઉભી કરશે. 18 મહિનામાં કામ પૂરું થશે, દરેક માળે 24x15 મીટરના મોટા હોલ બનાવાશે 1. કૂકિંગ અને હોસ્પિટાલિટી તાલીમ - કૂકિંગ, બેકિંગ, કેટરિંગ મેનેજમેન્ટ અને ફૂડ પ્રોસેસિંગની તાલીમ રહેશે. પ્રથમ માળે સર્વિસ કાઉન્ટર સાથેનો વધારાનો જમવાનો વિસ્તાર રહેશે. આ સાથે નાસ્તા બનાવીને અને પીરસવાની પ્રેક્ટિસ માટે ખાસ કાઉન્ટર પણ રહેશે. 2. ફેસેલિટી : દરેક માળે 24.88 x 15.58 મીટરના મોટા હોલ રહેશે, જ્યાં મશીનો અને જરૂરી સાધનો ગોઠવી શકાય છે. 3. બ્યુટી-વેલનેસ તાલીમ : બ્યુટી પાર્લર કોર્સ, હેર સ્ટાઇલિંગ, મેક-અપ આર્ટની તાલીમ માટે અલગ વિભાગ રહેશે. 4. ડિજિટલ સાક્ષરતા અને IT તાલીમ : કોમ્પ્યુટર ઓપરેટિંગ, ડેટા એન્ટ્રી અને ગ્રાફિક ડિઝાઇનિંગની તાલીમ અપાશે. 5. હસ્તકલા : હસ્તકલા, પેઇન્ટિંગ અને ઘરેલું ઉદ્યોગને લગતી તાલીમ માટેનું પણ એક કેન્દ્ર રહેશે. સેન્ટરમાં પ્રોડક્ટ વેચવા માટેનું માર્કેટ તૈયાર થશેઅમદાવાદમાં વિવિધ મહિલા સંગઠનો દ્વારા તૈયાર કરેલી વિવિધ પ્રોડક્ટને વેચવા માટેની એક માર્કેટ પણ ઊભી કરાશે. જ્યાં એક માર્કેટની સાથે પ્રોડક્ટના માર્કેટિંગની પણ તાલીમ અપાશે. આ સાથે મહિલાઓને બિઝનેસ માટે લોન કેવી રીતે લેવી, આ માટે પણ વ્યવસ્થા સેન્ટરમાં ઊભી કરાશે.
કૌંભાડીઓની ધરપકડ કરાઈ:વડસરની 1.22 કરોડના જમીનના કૌભાંડમાં વધુ 2 આરોપી ઝડપાયા
વડસરની જમીનના કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે ઝડપેલા મનોજ વણકર 2019ના રેલ્વે ભરતી કૌભાંડનો આરોપી હતો. જેના 1 વર્ષ બાદ 2020માં જ આરોપી બોગસ ખેડૂત બન્યો હતો. નોંધનિય છે કે જમીનના મૂળ માલિકો પૈકી મુંબઇના એક ભાગીદારનું મોત થયા બાદ વારસાઇ કરતાં ઠગાઇનો ઘટસ્ફોટ થયો હતો. માંજલપુર પોલીસે ઝડપાયેલો બીજો આરોપી હાલોલનો પંકજ પંચાલ વડોદરા શહેર અને જિલ્લામાં પડી રહેલી બિનવારસી જમીનો શોધીને તેનું કૌભાંડ કરતો હતો. ઉલ્લેખનિય છે કે, કૌભાંડી પંકજ પંચાલ વિરૂધ્ધ અગાઉ પણ જમીનની છેતરપીંડી કરવાના 3થી 4 ગુના નોંધાયેલા હોવાનું માંજલપુર પોલીસે જણાવ્યું છે. વડસરની સીમમાં આવેલી જમીનના માલિક મુંબઇના 2 ભાગીદારો તથા રમેશભાઈ પટેલે અમદાવાદના હસમુખ પટેલ અને કાવીના નરેન્દ્ર પરમાર વિરૂધ્ધ ખોટી સહિ, દસ્તાવેજ, 1.22 કરોડમાં દસ્તાવેજ કરી લેવાની માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મનોજ વણકરના રિમાન્ડ મેળવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરી રહી છે. જ્યારે પંકજ પંચાલ વિરૂધ્ધ જમીન પચાવી પાડવાના 3થી વધુ ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે. તેને આ જમીન શોધીને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉભા કરવા, ખોટી સહી કરી હતી. આ કેસમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન પચાવી પાડવામાં અન્ય ભુમિકા ભજવનારા આરોપીઓના નામ પણ ખુલ્યાં છે. અગાઉ પોલીસે કાવીના નરેન્દ્ર પરમારની ધરપકડ કરી હતી. આ જમીન કૌભાંડમાં અત્યાર સુધી ત્રણ આરોપી ઝડપાયા છે જ્યારે એક ફરાર છે. જેમાં નરેન્દ્ર પરમાર, પંકજ પંચાલ અને મનોજ વણકર ઝડપાઈ ચૂક્યા છે. જ્યારે ફરાર આરોપી હસમુખભાઈ પટેલની પોલીસ શોધખોળ ચલાવી રહ્યા છે.
પાલિકા દ્વારા સ્વચ્છતા માટે રેલીનું આયોજન કરાયું હતું. પાલિકાએ મશાલ રેલીના માધ્યમથી તરસાલી વિસ્તારમાં સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ સાથે ઘરેલુ કમ્પોસ્ટિંગનો પ્રચાર કરાયો હતો. મુખ્યત્વે રાત્રે છાનાછપના કચરો નાખી જતા લોકોમાં જાગૃતિ લાવવા માટે આ આયોજન રાત્રે કરાયું હતું. દક્ષિણ ઝોનના ડે.મ્યુનિ. કમિશનરના માર્ગદર્શન હેઠળ 21 માર્ચે દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ 16, 17, 18, 19ના સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26ની આઇઇસી એક્વિટી અંતર્ગત વોર્ડ-19માં મશાલ રેલીનું મંગલા ગ્રીન ફ્લેટથી રવિ પાર્ક ચાર રસ્તા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્વચ્છતા અને આરોગ્ય, સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ, ઘરેલુ કમ્પોસ્ટિંગ વગેરે સ્વચ્છતા વિષયક સંદેશાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમાં આસિ. મ્યુનિ. કમિશનર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર, ડોર ટુ ડોર સુપરવાઈઝર, સ્થાનિક સોસાયટીના રહીશો મળી 300 લોકો જોડાયા હતા. દક્ષિણ ઝોનમાં રાત્રી સફાઇ દરમિયાન આસિ.મ્યુ. કમિશનર શમિક જોશી મોનિટરિંગ કરતા હોય છે. પ્રથમ વખત સ્વચ્છતાના મેસકોટ સાથે રેલીનું આયોજન કરાયું હતું. માંજલપુર બાદ મકરપુરામાં પણ રાત્રે મશાલ રેલી યોજાઇ હતી. ભાસ્કર ઇનસાઇડછાનાછપના જાહેર સ્થળો ઉપર અંધારું હોય ત્યાં કચરો નાખીને ભાગી જતા લોકોને મેસેજ અપાયોપાલિકાએ રાત્રે મશાલ રેલીના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. રાત્રીના સમયે આ મશાલ રેલીના આયોજનનો હેતુ છાનાછપના રાત્રે કચરો નાખતા લોકોને જાગૃત કરવાનો છે. રાત્રીના અંધકારમાં ઘણાં લોકો કચરો જાહેર જગ્યા પર નાખી જતા હોય છે જેના પગલે ગંદકી થાય છે. આવા લોકો રાત્રીના સમયે કચરો ના નાખે તેવા આશય સાથે આ રેલી યોજાઇ હતી.
પોલીસની દાદાગીરી:રાત્રે દુકાન બંધ કરવા ગયેલી પોલીસે સ્ટોલ સંચાલકને રોડ પર માર માર્યો
માંજલપુર પોલીસ દ્વારા સ્ટોલ સંચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં પોલીસ ઉપર ગંભીર આરોપ લાગ્યો છે. જોકે દુકાન બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે માથાકૂટ થતાં યુવકોએ પોલીસ ઉપર આરોપ લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. મકરપુરા વિસ્તારમાં ફૂડ સ્ટોલ ચલાવતા એક યુવાને પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી આક્ષેપ કર્યો છે કે, પીધેલી હાલતમાં આવેલા પોલીસકર્મીઓએ તેને અને તેના મિત્રોને પાયાવિહોણા કારણોસર ઢોર માર માર્યો છે. આ મામલે યુવાને સીસીટીવી ફૂટેજ અને વીડિયો પુરાવા તરીકે રજૂ કરવાની તૈયારી બતાવી ન્યાયની માંગ કરી છે. મકરપુરાના ચતુરભાઈ નગરમાં રહેતા ધર્મેન્દ્ર કમલેશભાઈ સુનીલે પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓ ફૂડ સ્ટોલ ચલાવી ગુજરાન ચલાવે છે. ગત રાત્રે આશરે 11:45 વાગ્યે તેઓ દુકાન બંધ કરી કારીગર અને મિત્રો સાથે અંબે સ્કૂલ રોડ પર ચા પીવા ગયા હતા. તે સમયે એક પોલીસ વાન ત્યાં આવી હતી. યુવાનનો આક્ષેપ છે કે ગાડીમાં રહેલા પોલીસકર્મીઓએ તેઓએ રસ્તા પર ઉભા રહી બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીના જણાવ્યા મુજબ, પોલીસે તેના મિત્રો વિરેન્દ્ર કુશવાહા અને જીતેન્દ્ર કુમાર રાજપૂતને જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ ચાલુ ગાડીમાં તેઓને માર મારવામાં આવ્યો અને વડસર બ્રિજ પાસે ઉતારી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જો આ બાબતે કોઈને જાણ કે ફરિયાદ કરશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું લેખિત રજૂઆતમાં જણાવ્યું છે. અરજદારોએ પોલીસકર્મચારીઓ નશામાં ધૂત હોવાનો આક્ષેપ કર્યોઅરજદારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, PCR ગાડીમાં આવેલા પોલીસકર્મીઓ દારૂ પીધેલી હાલતમાં હતા અને જાહેર રોડ પર જોર-જોરથી ગાળો બોલી રહ્યા હતા. ઘટના બાદ પોલીસકર્મીઓએ ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરવામાં આવશે કે ફરિયાદ થશે, તો તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવશે. અરજદારે જણાવ્યું છે કે, આ સમગ્ર ઘટનાના વીડિયો તેમની પાસે છે અને જરૂર પડ્યે તેઓ આપશે. આ ઉપરાંત આસપાસની બિલ્ડિંગોમાં લાગેલા કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ હોવાથી, તેની તપાસ કરીને ન્યાય અપાવવા વિનંતી કરવામાં આવી છે. અરજદારે ઉમેર્યું કે, કોઈપણ ગુનો કર્યો નથી, છતાં તેમને અને તેમના મિત્રોને માર મારવામાં આવ્યો છે. વીડિયોમાં વાનમાં બેસાડવાનું કહ્યુંપોલીસ અને યુવકો વચ્ચે થયેલા ઘર્ષણ અંગેનો વીડિયો વાઇલ થયો હતો. વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાતું હતું અને સંવાદો પણ સંભળાતા હતાં. જેમાં યુવક બોલી રહ્યો હતો કે અમારો ગુનો શું છે? જ્યારે સામેથી સામાન્ય ડ્રેસમાં રહેલો અને વાનમાંથી ઉતરેલો વ્યક્તિ પીસીઆરમાં બેસાડવા કહેતો હતો. પોલીસ ઉપર લગાવાયેલા આરોપો ખોટાં છેમાંજલપુર પોલીસની મોબાઈલ 1 મોડી રાત્રે દુકાનો બંધ કરાવવા નીકળી હતી. જેમાં પીએસઆઇ નરેન્દ્ર રોહિત હાજર હતા. યુવકોને અટકાવતાં યુવકોએ વિરોધ કર્યો હતો, પરિણામે એમને મોબાઈલમાં બેસાડીને લઈ જવાયા હતા. જોકે યુવકોએ લગાવેલા આરોપ અંગે તપાસ સોંપવામાં આવી છે. > નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર
કાનૂની કિસ્સો:10 વર્ષથી ગુમ થઇ ગયેલા વડોદરાનાં 45 વર્ષીય યુવકને કોર્ટે ‘સિવિલ ડેડ’ જાહેર કર્યો
શહેરના આજવા રોડ ખાતે રહેતા 8 વર્ષથી ગુમ વ્યક્તિને વડોદરાની સિવિલ કોર્ટે કાયદાકીય રીતે મૃત (સિવિલ ડેડ) જાહેર કરવાનો મહત્વનો હુકમ કર્યો છે. ઈન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 108 મુજબ, જો કોઈ વ્યક્તિ 7 વર્ષ કે તેથી વધુ સમય સુધી ગુમ હોય અને તેના નજીકના સંબંધીઓએ તેના વિશે કાંઈ સાંભળ્યું ન હોય, તો તેને મૃત માની શકાય છે. આ કાયદાકીય જોગવાઈને આધારે 13મા એડિશનલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી. પૂનમ સહદેવ પ્રસાદ સ્વામીએ આ આદેશ આપ્યો છે અને અલ્પેશભાઇ હરેશચંદ્ર પંડ્યાને સિવીલ ડેડ જાહેર કર્યા છે. ગુમ યુવાન અલ્પેશભાઇ અંગે અરજી કરનારા તેમના ભાઇ હિતેશભાઈએ એડવોકેટ સી.ડી. શ્રીમાળી મારફતે રજૂઆતોમાં જણાવ્યું હતું કે, 8 વર્ષથી ભાઈ ગુમ હોવાથી વહીવટી અને કાનૂની કામકાજ માટે ‘સિવિલ ડેથ’નું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. સામા પક્ષે જન્મ-મરણ નોંધણી અધિકારીએ રજૂઆત કરી હતી કે, અરજદારે મૃત્યુના પ્રમાણપત્રની જરૂરિયાતની સ્પષ્ટતા કરી નથી. જોકે, આ અંગે કોર્ટે નોંધ્યું હતું કે, 7 વર્ષથી વધુ સમયથી વ્યક્તિ વિશે કોઈ માહિતી ન હોય ત્યારે કાયદાકીય રીતે તેને મૃત જાહેર કરી શકાય છે. જજ પૂનમ સહદેવપ્રસાદ સ્વામીએ આ કેસમાં મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે, વાદીએ પોલીસ સર્ટીફિકેટ અને મૌખિક પુરાવાઓથી સાબિત કર્યું છે કે અલ્પેશભાઈ લાંબા સમયથી ગુમ છે. આથી, અદાલતે અલ્પેશભાઈ હરેશચંદ્ર પંડ્યાને કાયદાની નજરમાં મૃત જાહેર કર્યા છે અને તંત્રને તેની નોંધ લેવા આદેશ કર્યો છે. ભાસ્કર નોલેજ મિલકત-વારસા હક્ક, સરકારી કામ અટકી પડ્યાં હતાં 17 જુલાઇ,2016ના દિવસે નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ અલ્પેશભાઇ પર ન ફર્યાઆજવા રોડ નીલમ સોસાયટી, સરદાર એસ્ટેટ પાછળ રહેતા હિતેશભાઈ હરેશચંદ્ર પંડ્યાએ દાવો દાખલ કર્યો હતો કે, ભાઈ અલ્પેશભાઈ પંડ્યા 17 જુલાઈ 2016ના રોજ નોકરીએ જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ પરત ફર્યા નહોતા. સગાસંબંધીઓમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ પણ કરવામાં આવી હતી. પોલીસે હાથ ધરેલી તપાસ અને અખબારોમાં પ્રસિદ્ધ કરાયેલી જાહેર નોટિસ છતાં અલ્પેશભાઈનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જેની બપોદ પોલીસ મથકે 10 વર્ષ અગાઉ જાણ કરી હતી.
યુનિવર્સિટી-કોલેજ માટે પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવશે. કોલેજમાં પ્રવેશ માટે જીકાસ દ્વારા 1લી એપ્રિલથી ક્વીક રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ગત વર્ષે 32 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલી હતી આ વર્ષે 3 રાઉન્ડમાં જ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. કોમન એકટમાં સમાવેશ કરાયેલી રાજયની સરકારી યુનિવર્સિટીઓમાં ચાલુ વર્ષે પણ જીકાસના માધ્યમથી જ પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી જીકાસમાં છેક સપ્ટેમ્બર મહિના સુધી પ્રવેશ પ્રક્રિયા માટે રાઉન્ડ કરવામાં આવતા હતા. જોકે આ વખતે અનેક રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરવાના બદલે હવે માત્ર ત્રણ રાઉન્ડ જ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં લેવામાં આવતી ધો.10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે. હવે બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરવર્ષની જેમ જીકાસના માધ્યમથી જ પ્રવેશ પ્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગત વર્ષે જીકાસના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 32 રાઉન્ડ કરવામાં આવતાં વિદ્યાર્થી-વાલીઓએ ભારે હેરાનગતિ અને મુશ્કેલી ભોગવવી પડી હતી. ખાનગી યુનિવર્સિટીઓ ધો.12ની પરીક્ષા પૂર્ણ થાય તેની સાથે જ પ્રવેશ કન્ફર્મ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેતી હોય છે. જેથી વિદ્યાર્થીઓ ભરમાઇ જતા હોય છે અને સરકારી યુનિવર્સિટીના લાભથી વંચિત રહી જતા હોય છે. વારંવાર રાઉન્ડ કરવાના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નહોવાથી છેવટે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી લેતાં હોય છે. આ પ્રકારની સ્થિતિ ઉભી ન થાય તે માટે ત્રણ રાઉન્ડ રાઉન્ડ જીકાસના માધ્યમથી પૂરા કરીને પછી ખાલી પડનારી બેઠક મેરિટથી ભરવા માટે છેલ્લા બે વર્ષથી માંગમી કરવામાં આવી રહી છે. જોકે તેને પૂરી કરવામાં આવી રહી નથી. જીકાસ કમિટી યુનિ.-કોલેજોની ફેકલ્ટીના વડા સાથે બેઠકો કરીને એકરૂપતા લાવશે જીકાસ કમીટી દ્વારા 23 માર્ચથી 30 માર્ચ સુધી જે સરકારી યુનિવર્સિટીમાં જીકાસથી પ્રવેશ પ્રક્રિયા થવાની છે તેની ફેકલ્ટીઓના વડાને બોલાવ્યા છે. આ બેઠકમાં ઉપસ્થિત રહેનાર વડાઓએ પોતાની યુનિવર્સિટીના સંબંધિત વિદ્યાશાખાના પ્રવર્તમાન પ્રવેશ નિયમો, યુનિવર્સિટીના સ્ટેચ્યુટસની નકલ, વિષયોના નામાભિધાનની યાદી અને તે અંગેના જરૂરી આધારભૂત દસ્તાવેજો રજૂ કરવાના છે. દરેક રાઉન્ડ પછી કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે તેની વિગતો જાહેર કરાતી નથીદરેક રાઉન્ડ પછી કઈ કોલેજમાં કેટલી બેઠકો ખાલી પડી છે તેની વિગતો જાહેર કરવામાં આવતી નથી. જેના પગલે વિદ્યાર્થીઓ-વાલીઓ મૂંઝવણભરી સ્થિતી પરિસ્થિતીમાં મૂકાય છે. વિદ્યાર્થીઓને છેવટ સુધી ખબર જ હોતી નથી કે બેઠકો ખાલી છે કે નહિ જેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ નહિ મળે તેવું માનીને અન્ય વિકલ્પો શોધી લે છે.
વડોદરાના અકોટા, ગોત્રી, સુશેન-મકરપુરા અને ચાર દરવાજા વિસ્તારોમાં ટ્રાફિકજામ અને પાર્કિંગ શહેરીજનો માટે જૂની સમસ્યાઓ છે. વડોદરાની આ સમસ્યાના મૂળમાં પાલિકા-પોલીસની આળસ અને જાહેર ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો અભાવ છે. દિવ્ય ભાસ્કર દ્વારા આ વિસ્તારોની ટ્રાફિક સમસ્યાના મૂળ અને તેના ઉકેલની ચર્ચા માટે એક સંવાદ સત્રનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ કંઇક આ પ્રકારની વાત કરી હતી. શહેરમાં ચાર રસ્તાથી 50 મીટર ફરતેનો વિસ્તાર ખુલ્લો કરવાની સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે. તેનો ભંગ ન થાય, વડોદરાવાસીઓને અડચણ વિનાનો ટ્રાફિકનો અનુભવ થાય, પે એન્ડ પાર્ક શરૂ કરાય તો પાર્કિંગ સમસ્યા હળવી બનશે. આ સંવાદ સત્રના કેટલાક વિચારો અત્રે પ્રસ્તુત છે... ટ્રાફિકને અડચણરૂપ વાહનોના સ્પોટ્સ શોધવાની અને પબ્લિક ટ્રાન્સપોર્ટ મજબૂત કરવાની જરૂર છે ગોત્રી, અકોટા, ચાર દરવાજા વિસ્તારની સમસ્યા એક, જોકે કેટલાંક જુદાં કારણોથી નાગરિકો ત્રસ્ત ગોત્રી યશ કોમ્પ્લેક્સ સામે તો અપડાઉન કરનારા લોકો પોતાના વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે. 9 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ટુ વ્હીલર્સનો જમાવડો જોવા મળે છે. ગોત્રીમાં રસ્તા પરના શાક માર્કેટ પર વાહન સાથે ચાલુ રસ્તે ખરીદી પોલીસ અટકાવી શકી નથી. હરિનગર ફ્લાય ઓવરની નીચેની સ્પેસનો અસરકારક ઉપયોગ થયો નથી. અકોટા ગાય સર્કલ પાસે તો લોકો રસ્તા પર જ ફોર વ્હીલર મૂકી કામે જાય છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સના ટુરિઝમને વડોદરાએ આવરવું હશે તો ચાર દરવાજા વિસ્તારમાં પેડેસ્ટ્રિયન સ્ટ્રીટ અને તેને સંબંધિત સુવિધા વિશે વિચારવું પડશે, જેમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને દૂર પહેલા કરવી પડશે.
નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર ઈરાન દ્વારા ઈઝરાયલ પર મિસાઈલો છોડવાના રહ્યા, જેમાં 300 લોકો ઘાયલ થયા. બીજા મોટા સમાચાર ફિલ્મ 'ધુરંધર-2' ને લઈને રહ્યા, જેણે માત્ર ત્રણ દિવસમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ તોડી નાખ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી ગુજરાતમાં આદિવાસી અધિકારો માટે આયોજિત એક સંમેલનમાં ભાગ લેશે. 2. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરના AI ડીપફેક અને ઓળખના દુરુપયોગના મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. ઈરાનનો ઇઝરાયેલ પર 4 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો: 300 લોકો ઘાયલ; ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું ઈરાને ઈઝરાયલ પર 4 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈરાને શનિવારથી ઈઝરાયલ પર હુમલા તેજ કરી દીધા છે. ગઈકાલે રાત્રે ઈરાને ઈઝરાયેલના બે શહેરો પર હુમલો કર્યો હતો. અહીં ઈઝરાયલનો મોટો ન્યુક્લિયર પ્લાન્ટ આવેલો છે. આ હુમલાઓમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય સેવાઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. ઈરાન તરફથી આ હુમલાઓ ટ્રમ્પની ધમકી બાદ વધ્યા છે. હકીકતમાં, ટ્રમ્પે ધમકી આપતા કહ્યું કે જો 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. હવે અમેરિકાથી LPG લઈને કાર્ગો જહાજ મેંગલુરુ પહોંચ્યું:7 દિવસમાં ગેસ લઈને ચાર જહાજ ભારત આવ્યા; કેન્દ્ર બોલ્યું- ફારસની ખાડીમાં તમામ 22 જહાજ સુરક્ષિત અમેરિકાના ટેક્સાસથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને એક કાર્ગો શિપ મેંગલુરુના ન્યૂ મેંગલોર પોર્ટ પર પહોંચી ગયું છે. છેલ્લા 7 દિવસમાં લગભગ ચાર જહાજ ગેસ-ક્રૂડ ઓઇલ લઈને દરિયાઈ માર્ગે ભારત પહોંચ્યા છે. આ પહેલા 18 માર્ચે ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર, જગ લાડકી ગુજરાતમાં અદાણી પોર્ટ્સ પર આવ્યું હતું. જ્યારે અન્ય બે LPG કેરિયર MT શિવાલિક અને MT નંદા દેવી લગભગ 92,712 મેટ્રિક ટન ગેસ લઈને 16 અને 17 માર્ચે ભારત આવ્યા હતા. જોકે આ ત્રણેય જહાજ હોર્મુઝના માર્ગેથી પસાર થયા હતા. પર્શિયન ગલ્ફમાં હજુ પણ લગભગ 22 ભારતીય જહાજ ફસાયેલા છે. જોકે તે બધા સુરક્ષિત છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. લો બોલો! મેચમાં દર્શકોને જ એન્ટ્રી નહીં:ઓપનિંગ સેરેમની પણ કેન્સલ; ખાલી સ્ટેડિયમમાં રમાશે પાકિસ્તાની લીગ; કંગાળ પાક. સરકાર આવી રીતે ખર્ચ ઘટાડશે પાકિસ્તાને ખર્ચ ઘટાડવાના અભિયાન હેઠળ હવે પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. આ સાથે જ ટુર્નામેન્ટની તમામ મેચો માત્ર લાહોર અને કરાચીમાં રમાશે. 26 માર્ચથી શરૂ થનારી લીગની ઓપનિંગ સેરેમની પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ જણાવ્યું કે આ અંગે વડાપ્રધાન અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. નકવીએ કહ્યું, સરકારે વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની અવરજવર મર્યાદિત રાખવાની સલાહ આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મોદી મેજિકઃ મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધી...સૌથી લાંબી ઇનિંગ્સનો નવો રેકોર્ડ:CM-PM મળીને કુલ 8931 દિવસ હેડ ઓફ ગવર્નમેન્ટ રહ્યા; સિક્કિમનાં પવન કુમાર ચામલિંગને પાછળ ધકેલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા રહેનારા નેતા બની ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સરકારના વડા તરીકે 8,931 દિવસ પૂરા કરવા સાથે જ PM મોદીએ ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને તોડી નાખ્યો છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પાછળ ધકેલી દીધા છે. PM મોદી આ પહેલા ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, અને તેઓ એવા વડાપ્રધાન પણ છે જેમની પાસે મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો સૌથી લાંબો અનુભવ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'ધુરંધર 2'એ ત્રણ મહિનાની રાહ જોવડાવી, ત્રણ દિ'માં રેકોર્ડ તોડ્યા!:બોક્સઓફિસ પર ₹501 કરોડનું શગુન, ત્રીજા દિવસનાં આંકડાએ 'જવાન'-'બાહુબલી 2' અને 'દંગલ'ને પછાડી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે ભારતમાં 113 કરોડ રૂપિયાની કમાણી કરી અને પેઇડ પ્રિવ્યુ સહિત ત્રણ દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 339.27 કરોડ રૂપિયા થઈ ગયું. 19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. ત્રીજા દિવસે કમાણીના મામલે ‘જવાન’, ‘બાહુબલી 2’ અને ‘દંગલ’ જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી. ફિલ્મે અત્યાર સુધી વિદેશોમાં લગભગ 96.50 કરોડ રૂપિયા કમાવ્યા છે, જેના કારણે વિશ્વભરમાં ફિલ્મનું કુલ કલેક્શન 501.04 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે':'સહકુટુંબમાં ને ગામડે દીકરી દેવી નથી, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ થશે', રાજકોટ કડવા પાટીદાર સંમેલનમાં રૂપાલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયા ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે. અહીં રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આયોજિત કડવા પાટીદાર સંમેલન દરમિયાન પરષોત્તમ રૂપાલાએ સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરતા જણાવ્યું હતું કે, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે છે. સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાંથી રહસ્યમય ભોયરું મળ્યું:18 હજારમાં સંતાન પ્રાપ્તિ, આયુર્વેદીકના નામે નકલી દવા વેચતો, સગીરને અર્ધનગ્ન કરી સુષુમ્ણા નાડીનું રહસ્ય સમજાવતો વીડિયો મૂકતો સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમમાં નકલી ચલણી નોટનાં રેકેટમાં પકડાયેલા યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાએ અંદરની ગતિવિધીઓ ગુપ્ત રાખવા માટે આશ્રમની ચોમેર 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી હતી. તેમજ આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે જ અન્ય ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ રૂ. 15થી 18 હજાર લઈને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મોદીની હાઇ લેવલ બેઠક:શાહ-નડ્ડા, પુરી સહિતના સિનિયર નેતાઓ હાજર; ગેસ-તેલ અને ઊર્જાની સ્થિતિ પર ચર્ચા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : કંપનીને ₹200 કરોડનો દંડ: પ્રેગનન્સીમાં મહિલાને ઓફિસ આવવા મજબૂર કરી, 18 અઠવાડિયા વહેલું બાળક જન્મ્યું; 1 કલાકમાં જ નવજાતના ધબકારા બંધ થયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ‘મારા જગન્નાથ અમને છોડીને જતા રહ્યા...’:રાતોરાત મંદિરમાંથી ગાયબ થયા ભગવાન, ભક્તો રડી પડ્યા; પૂજારીએ વીડિયોમાં કહ્યું- મને માર માર્યો, ગાળો અપાઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મહિલાના મૃતદેહ સાથે 13 કલાક વિમાન ઉડતું રહ્યું:હોંગકોંગથી લંડન ફ્લાઇટમાં ટેકઓફ પછી મૃત્યુ થયું; આખી મુસાફરી દરમિયાન દુર્ગંધથી મુસાફરો પરેશાન રહ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ન ખુલ્યો તો ઈરાન પર હુમલો:ટ્રમ્પની ચેતવણીથી શેરબજારમાં ભય; નવા અઠવાડિયે 5 ફેક્ટર્સ બજારની ચાલ નક્કી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વિરાટ કોહલીએ લંડન માટે ચાર્ટર્ડ ફ્લાઇટની અફવાને નકારી:RCB પાસે આવી કોઈ માંગણી કરી નથી, ઇન્સ્ટાગ્રામ પર લાફિંગ ઇમોજી મૂકી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : દરિદ્રતાથી છુટકારો:આર્થિક તંગી દૂર કરી સુખ-સમૃદ્ધિ વધારવા માટે કરો આ સરળ ઉપાય વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગ્રામજનોએ પોલીસને બંધક બનાવી ઉત્તર પ્રદેશના જૌનપુરમાં સાદા કપડામાં પહોંચેલી મહારાષ્ટ્ર પોલીસને ગ્રામજનોએ ચોર સમજીને ઘેરી લીધી અને બંધક બનાવી દીધી. પોલીસ એક યુવકને પૈસાની લેવડ-દેવડના મામલે પકડવા માટે આવી હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: શું ઈરાન પર પરમાણુ હુમલો કરશે નેતન્યાહૂ? ઈરાને ડિમોના શહેર પર સૌથી મોટો હુમલો કર્યો, દુનિયા પર તેની શું અસર પડશે 2. ભાસ્કર સિરીઝ : દીપેશ-અભિષેકની 3 કિમી લાંબી અંતિમ યાત્રા નીકળી: શું પોલીસ આસારામ સાથે મળેલી હતી? એકસાથે જુઓ ‘આસારામ’ સિરીઝના 13 પાર્ટ 3. સન્ડે બિગ સ્ટોરી : હવે દિવસે જ નહીં, રાત્રે પણ શેકાશે ગુજરાત: આ તારીખથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે, નિષ્ણાતોએ જણાવ્યું ચોંકાવનારું કારણ 4. ખાખી કવર : ફાર્મ હાઉસ માટે સગા ભાઇએ પોન્ટી ચઢ્ઢાને મારી નાખ્યો: ₹50 હજાર કરોડના માલિક, લિકર કિંગનો ખૂની અંત, સામસામા ગોળીબારમાં બંને ભાઈ મરાયા 5. ભાસ્કર એક્સક્લૂસિવ : ધુરંધર-2માં અતિક અહેમદની કહાની સત્ય કે પ્રોપેગેન્ડા?: ISI સાથે કનેક્શનના પુરાવા મળ્યા, નોટબંધી અને ફેક કરન્સી વાળી સ્ટોરી કેટલી સાચી? 6. સન્ડે જઝબાત: અકસ્માતોમાં ઇન્ટરનેશનલ ખેલાડી દીકરા-દીકરીને ગુમાવ્યા: હાર ન માની, 55ની ઉંમરે ફરી પિતા બન્યો; હવે દીકરી અંડર-12, અંડર-14માં વર્લ્ડ ચેમ્પિયન કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન-તુલા રાશિના જાતકો માટે ધનલાભના યોગ, સિંહ અને ધન રાશિના લોકોના સપના થશે સાકાર વાંચો સંપૂર્ણ રાશિફળ
વડોદરાના વેમાલી ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે અંદાજે 2500થી 3 હજાર શ્રદ્ધાળુઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સેન્ટ્રલ કમિટીના યુવા સંગઠનના ચેરમેન જીતુભાઈ પટેલ અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત વડોદરા ફાઉન્ડેશનના યુવા સંગઠનના ચેરમેન ચિરાગભાઈ પટેલ, સામાજિક સંગઠનના ચેરમેન પિનાકીનભાઈ પટેલ તથા મહિલા સંગઠનના ચેરમેન ભગવતીબેન પટેલ પણ પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા. વેમાલી ખાતે આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિરલભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. મહાઆરતીના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોને કારણે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ શનિવારે 75મી આરતી હોવાથી તેને મહાઆરતી તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું. વિરાટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દોઢ વર્ષ પહેલાં નાનકડા પાયે થયેલી શરૂઆત આજે વટવૃક્ષ બનીઆશરે દોઢ વર્ષ પહેલાં માત્ર ત્રણ-ચાર પરિવારોએ ભેગા મળીને સામાજિક સંગઠનના ભાગરૂપે દર શનિવારે રાત્રે 9: કલાકે વેમાલી ગ્રાઉન્ડ ખાતે આરતી કરવાનું નક્કી કર્યું હતું. ધીમે-ધીમે કાર્યકર્તાઓ અને પરિવારો જોડાતા ગયા અને આ અભિયાન મોટું સ્વરૂપ ધારણ કરતું ગયું. શનિવારે રાત્રે 9: કલાકે અનેક પરિવારો પોતાના ઘરે પણ મા ઉમિયાની આરતી અચૂકપણે કરે છે.
મહામૂલા પાણીનો વેડફાટ:મકરપુરા પોલીસ સ્ટેશનની પાસે લીકેજ,ભરઉનાળે પાણીનો વેડફાટ
શહેરમાં ભરઉનાળે લાઇનમાં લીકેજને પગલે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશન પાસેના મુખ્ય માર્ગ પર છેલ્લા 6 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયેલું છે. જોકે લીકેજની રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી નથી. ઉનાળાના આરંભ સાથે જ શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઇ રહી છે, બીજી તરફ લાઇનોમાં લીકેજ પણ સર્જાઇ રહ્યું છે. શહેરના મકરપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક લાઇનમાં લીકેજ થવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આ અંગે વિસ્તારના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, પાણીની અછત છે ત્યારે પાલિકાની નિષ્કાળજી છતી થઈ છે. પાણીની લાઇનના નકશા નથી, ક્યાં કેવી રીતે લીકેજ થઇ રહ્યું છે તેની કોઇ જાણકારી પાલિકાના અધિકારીઓ પાસે નથી. માત્ર પેપર પર જ સ્માર્ટ સિટી છે. કાળઝાળ ગરમી વચ્ચે પાલિકા દ્વારા લીકેજ બંધ કરવાની કામગીરી કરાઇ નથી. આ ભંગાણથી આસપાસની સોસાયટીમાં પાણીનું પ્રેશર ઘટી ગયું છે. પાલિકામાં ચાર વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ સમારકામ કરાયું નથી. આ વિસ્તારમાં દર મહિને ભંગાણ પડતું હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકરે દ્વારા સત્વરે સમારકામ કરવાની માગ કરી છે.
અલકાપુરીમાં લગ્નના 17 વર્ષ બાદ દંપતી વચ્ચે ખટરાગ થયો હતો. મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતો પતિ તેની પત્નીને ચાંદલો લગાવીને બહાર ન જવા કહેતો અને મ્હેણાં મારતો કે, બહુ સુંદર દેખાવું છે? ઉપરાંત શરીર સંબંધ નહીં બાંધવા દે તો કાઢી મૂકીશ તેવી ધમકી આપતો હતો. અભયમે મામલો થાળે પાડ્યો હતો. અલકાપુરીની મહિલાએ ફોન કરી અભયમને કહ્યું કે, મારો પતિ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરે છે. જેથી અભયમે મહિલાના ઘરે જઈને પતિને કડક શબ્દોમાં સમજાવ્યું કે, લગ્ન જીવન છે, પણ તમે પત્નીની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ ન રાખી શકો. ટીમે મહિલાને પતિની વિરુદ્ધ ફરિયાદ કરવા પણ સમજાવ્યું હતું. જોકે મહિલા 17 વર્ષના લગ્ન જીવનને તક આપવા માગતી હોવાથી પતિ સામે ફરિયાદ નોંધાવી નહોતી. હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝ રિલીઝ થઈ છે, જેમાં મહિલા મેરિટલ રેપને કારણે પોતાના પરિવારના વિરુદ્ધ જાય છે. વેબ સિરીઝ જેવો જ એક કિસ્સો અલકાપુરી જેવા ભદ્ર વિસ્તારમાં બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશની મહિલાનો પતિ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે અને પરિવાર સાથે અલકાપુરીમાં રહે છે. જોકે 3 વર્ષથી દંપતી વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. મહિલાએ રવિવારે અભયમને કોલ કરી જણાવ્યું કે, મારા પતિ 3 વર્ષથી મને રૂપિયા ન આપતા હોવાથી મારે નોકરી શરૂ કરવી પડી છે. નોકરી પર વ્યવસ્થિત તૈયાર થઈને જવાની ના પાડે છે. થોડા સમયથી તે જબરજસ્તી શરીર સંબંધ બાંધવા દબાણ કરે છે. હું ના પાડું તો મારઝૂડ કરી ધમકી આપે છે કે, શારીરિક સંબંધ નહીં બાંધવા દે તો ઘરમાંથી કાઢી મૂકીશ. જેથી અભયમે મહિલાના પતિને કડક સૂચના આપતાં તેણે પત્નીની માફી માગી હતી અને ખાતરી આપી હતી કે, પત્નીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ નહીં બાંધે. પત્નીના પગારનો હિસાબ પણ માગતો હતોમહિલાએ ટીમને જણાવ્યું કે, પતિ ઘરમાં રૂપિયા ન આપતા હોવાથી મેં નોકરી શરૂ કરી હતી. જે બાદ મારા પતિ મને પરેશાન કરી કહેતા કે, તું મને સમય આપતી નથી. આટલું તૈયાર થઈને નહીં જવાનું, કપડાં સારાં નહીં પહેરવાનાં. બીજાને સારી લાગવા તૈયાર થઈને જાય છે. આ ઉપરાંત મારા પગારનો પણ હિસાબ માગતા હતા.
મંડે પોઝિટીવ:મહિલા ક્રિકેટઃ ગુડગાંવ, વાપી, નવસારીના પરિવાર પુત્રીની તાલીમ માટે વડોદરામાં વસ્યા
વડોદરાની વિવિધ ક્રિકેટ પિચ પર માત્ર છોકરાઓ જ નહીં, હવે બાળકીઓ પણ ફટકાબાજી માટે તૈયાર થઈ રહી છે. ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી અને ડબ્લ્યુપીએલ બાદ મહિલા ક્રિકેટને વેગ મળ્યો છે. હાલ શહેરમાં 7-12 વર્ષની વયની 200થી વધુ બાળકી શહેરની 30થી વધુ ખાનગી એકેડેમીમાં કોચિંગ લે છે. જ્યારે ગુડગાંવથી પરિવાર સાડા સાત વર્ષની બાળકીને ક્રિકેટની તાલીમ અપાવવા વડોદરા સ્થાયી થયો છે. હરણીમાં રહેતા આનંદ ચૌધરીએ કહ્યું કે, અમે ગુડગાંવમાં રહેતા હતા. જોકે રામરા સાડા પાંચ વર્ષની હતી ત્યારેથી તેણે ક્રિકેટ રમવાનું નક્કી કર્યું હતું. વડોદરાનું ક્રિકેટ ખૂબ સારું છે. રામરાનો જન્મ વડોદરા થયો હતો. જોકે તેને સારું ક્રિકેટ કોચિંગ મળે તે માટે આખો પરિવાર ગુડગાંવથી વડોદરા સ્થાયી થયો છે. રામરા ઓલ-રાઉન્ડર છે અને તે દોઢ વર્ષથી સારું ક્રિકેટ રમી રહી છે. સાડા સાત વર્ષની રામરા ક્રિકેટમાં વધુ ધ્યાન આપે તે માટે સેલ્ફ સ્કૂલિંગ કરાવીશું. બીસીએનાં જુનિ. સિલેક્શન કમિટીનાં ચેરમેન ગીતાબેન ગાયકવાડે કહ્યું કે, વડોદરામાંથી ભારતીય ટીમમાં વધુ પ્રમાણમાં વુમન્સ ક્રિકેટર રમે તેવી આશા છે. વડોદરામાં 7-12 એજ ગ્રૂપમાં 200 બાળકી હાલ 30થી વધુ ખાનગી એકેડેમીમાં કોચિંગ લે છે. 12 વર્ષ પછી બીસીએમાં સિલેક્શન કરાય છે. જ્યારે મોતીબાગ ક્રિકેટ ક્લબનાં વુમન્સ હેડ કોચ પલક પટેલે કહ્યું કે, અમારી ક્લબમાં 7થી 12 વર્ષથી 10 બાળકી ટ્રેનિંગ લે છે. વાપીથી મહિલા તેની બે પુત્રી માટે વડોદરામાં ભાડાનું ઘર રાખી રહે છેવડોદરા ક્રિકેટ એકેડેમીના સંચાલક હરેન્દ્ર પટેલે કહ્યું કે, અમારી એકેડેમીમાં 6 છોકરી પ્રોફેશનલ ટ્રેનિંગ લે છે. એકેડેમીમાં કંચન શેખાવત રમે છે. તેની માતા 2 પુત્રી અને પુત્રને ક્રિકેટની તાલીમ અપાવવા વાપીથી વડોદરા આવી ભાડે રહે છે. બાળકીઓ માટે ક્રિકેટ શીખવાની યોગ્ય વય 7-10 વર્ષની છેવુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ બાદ ક્રિકેટને વેગ મળ્યો છે. રાધા યાદવ વડોદરા આવે ત્યારે બાળકીઓને પ્રેરણા આપવા સાથે જરૂરી ટિપ્સ આપે છે અને તમામ સાથે ચર્ચા કરે છે. બાળકીઓ માટે ક્રિકેટ શીખવાની સૌથી યોગ્ય વય 7-10 વર્ષની જ છે. > મિલિંદ વારાવડેકર, કૃગારા ક્રિકેટ એકેડેમી 10 વર્ષની વયે સારું ક્રિકેટ રમતાં જોઈ મૈત્રીને કહ્યું, હું તારું સિલેક્શન કરીશ ગીતાબેન ગાયકવાડે કહ્યું કે, નવસારીની મૈત્રી મણિયાર 10 વર્ષની હતી ત્યારથી સારું ક્રિકેટ રમતી હતી. હું તેનામાં રાધા યાદવને જોતી હતી. મેં તેને તે સમયે જ કહી દીધું હતું કે, 12 વર્ષની વયે તારું સિલેક્શન કરીશ. તેના પરિવારને વાત કરતાં તેઓ વડોદરા સ્થાયી થયા હતા. તે બીસીએ અંડર-15ની કેપ્ટન પણ રહી હતી, સાથે જ તે સિનિયર પણ રમે છે. ટી-20ની ઓપનર બનવા પ્રેક્ટિસ રામરા ટી-20ની ટીમની ઓપનર બનવા પાવર હિટિંગની પ્રેક્ટિસ કરે છે. 800થી 950 ગ્રામનાં 3 બેટનો ઉપયોગ કરે છે, સાથે પ્લાસ્ટિક, વિંડ અને સિઝન બોલથી રમે છે.
પાલિકાની આર્થિક સ્થિતિ ભવિષ્યમાં કથળી શકે છે તેવા નોટિંગ સાથે પ્રજાના પાલકોની દારૂણ દશાની ચિંતા અંદાજપત્રમાં કરાઈ છે. મ્યુ. કમિશનરે અંદાજપત્રમાં આપેલા નિવેદનમાં 2007માં ઓક્ટ્રોય નાબૂદી બાદ પાલિકાની આવકના સ્ત્રોત મર્યાદિત બન્યા છે, જેની સામે પગાર, પેન્શન, નિભાવણી ખર્ચ અધધ વધ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. કમિશનરના નિવેદનમાં સ્પષ્ટ ચેતવણી છે કે, આવક કરતાં ખર્ચ 210 કરોડ વધુ છે. સંતુલન નહીં જળવાય તો પાલિકાએ આર્થિક ભીંસ વેઠવી પડશે. તેઓએ જીએસટી, મહેકમ ખર્ચ, નિભાવણીની ગ્રાન્ટ સરકાર આપે તેવી ભલામણ કરી છે. નોંધનીય છે કે, ડોર ટુ ડોરના નવા કોન્ટ્રાક્ટથી 150 કરોડનું ભારણ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટની નિભાવણીનો 20 કરોડ ખર્ચ વધ્યો છે. ટીપીની આવકમાં 50 કરોડનો ઘટાડો અને પ્લોટ વેચી આવકની પોકળ વાતોથી ગંભીર બનશે તેવું જાણકારોનું માનવું છે. ભાસ્કર એક્સપર્ટ...તો ઝડપી વિકાસ માત્ર આર્થિક બોજો-અવિશ્વાસનું કારણ બનીને ઊભો રહેશેમ્યુ. કમિશનરના નિવેદનના વિશ્લેષણ મુજબ વિકાસ અને જાળવણીના વાસ્તવિક પડકારોને સ્વીકારે છે, પણ નાણાકીય સ્વાયત્તતા અને જવાબદારીના સ્તરે ગંભીર નબળાઈ ધરાવે છે. તંત્ર સરકારી અનુદાન પર વધુ નિર્ભર છે અને આંતરિક આવક વધારવાની નક્કર યોજનાનો સ્પષ્ટ અભાવ છે. રસ્તા, પેવર બ્લોક, નદી શુદ્ધિકરણ જેવાં કામોમાં વારંવાર ખર્ચ નબળું આયોજન, સંસાધનોનો બગાડ અને કોન્ટ્રાક્ટરોની બિનજવાબદારી સૂચવે છે. મહેસૂલ લીકેજ, ભ્રષ્ટાચાર અને ડિજિટાઈઝેશનના અભાવે સત્તાવાર આવક ઘટી છે, જે આર્થિક જોખમ ઊભું કરી શકે છે. ટકાઉપણું લાવવા પ્રોજેક્ટના જીવનચક્ર ખર્ચનું ઓડિટ, જાહેર ડેશબોર્ડ દ્વારા પારદર્શિતા અને નબળા કામ બદલ કડક દંડની જોગવાઈ અનિવાર્ય છે. વહીવટી શિસ્ત અને દેખરેખ પ્રણાલી મજબૂત ન કરાય તો આ ઝડપી વિકાસ ભવિષ્યમાં માત્ર આર્થિક બોજ અને જાહેર અવિશ્વાસનું કારણ બનશે. ડિજિટલ પેમેન્ટથી આવક વધારવી, પ્રોજેક્ટ ટ્રેકિંગ માટે જાહેર ડેશબોર્ડ બનાવવું, નબળા કામ માટે કોન્ટ્રાક્ટરો પર દંડ અને વિભાગની જવાબદારી નક્કી કરવી. - ડૉ. વીરેન્દ્ર સિંહ, વડા, સમાજશાસ્ત્ર વિભાગ, MSU 8 વર્ષ બાદ ડિપોઝિટ વાપરવી પડી, 2018માં કટોકટી ઊભી થઈ હતીગત 2 વર્ષમાં પાલિકામાં આવક કરતાં ખર્ચ વધુ કરાયો છે. જેને કારણે આગામી વર્ષમાં આર્થિક સ્થિતિ ખરાબ થશે તેવી શક્યતા છે. 2018માં આડેધડ ખર્ચથી આર્થિક સ્થિતિ કથળી હતી. કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ અટકવા સાથે કર્મીઓને પગાર આપવો મુશ્કેલ બન્યો હતો. રોજ થતી વેરાની કડક વસૂલાત બાદ એકાઉન્ટ વિભાગ દ્વારા આર્થિક વ્યવહાર થતા હતા. પાલિકાની તિજોરી તળિયા ઝાટક થતાં ડિપોઝિટ તોડી 200 કરોડ ઉપાડવા પડ્યા હતા. હવે 150 કરોડની ડિપોઝિટ ઉપાડવી પડી છે. પાલિકાની સ્થિતિ કથળવાનાં કારણો મ્યુનિસિપલ કમિશનરની ભલામણો (એક્સપર્ટ વ્યૂ)
ડીઆરઆઈની નવી મુંબઈના બંદર ખાતે કાર્યવાહી:ચીનથી આયાત કરાયેલા કરોડોના વોકી-ટોકીજપ્ત
ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા નવી મુંબઈમાં ન્હાવા શેવા બંદર ખાતેથી રૂ. 9.25 કરોડના 11,060 વોકો- ટોકી સેટ્સ, સેકંડ- હેન્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ (એચડીડી) જપ્ત કરવામાં આવ્યા છે. મુંબઈની બે કંપનીના માલિકો પિતા- પુત્રે યોગ્ય પરવાનગી વિના આ માલોની આયાત કરી હતી. તેમની કસ્ટમ્સ ધારા હેઠળ ધરપકડ કરવાંમાં આવી છે, એમ કસ્ટમ્સે એક યાદીમાં જણાવ્યું છે. ચોક્કસ માહિતીને આધારે ડીઆરઆઈના અધિકારીઓની ટીમે રૂ. 2.5 કરોડના બોફેંગ બીએફ-888એસ વોકી- ટોકી અને રૂ. 6.75 કરોડના સેકંડ- હેન્ડ એચડીડી (ઈ-વેસ્ટ તરીકે માનવામાં આવે છે) જપ્ત કર્યા છે. કુલ રૂ. 21 કરોડ મૂલ્યની પરચુરણ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટોમાં આ પ્રતિબંધિત ચીજો છુપાવવામાં આવી હતી. માહિતી છુપાવવા માટે ચીનથી કુલ આઠ કન્ટેઈનરમાંથી રૂ. 30.25 કરોડનું આખું કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. બોફેંગ બીએફ-888એસ વોકી-ટોકી મંજૂર ફ્રિક્વન્સીની પાર સંચાલન કરવા માટે દૂરસંચાર વિભાગ (ડીઓટી) દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, કારણ કે તે અનધિકૃત સંદેશવ્યવહાર માટે ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી રાષ્ટ્રીય સલામતી સામે ખતરો ઊભો થઈ શકે છે. આ ડિવાઈસીસ માટે ચોક્કસ પરવાનાઓ લેવાનું આવશ્યક હોય છે.સેકંડ- હેન્ડ એચડીડી ડિરેકોટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ્સની અધિકૃતિ વિના આયાત નહીં કરી શકાય. આથી આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
15 જણ વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ કરાયો:પાલઘરમાં કંપનીની દીવાલનું નિર્માણ રોકી ખંડણીની માગણી
પાલઘર જિલ્લામાં કંપનીની સુરક્ષા દીવાલ નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું હતું. તે રોકીને ખંડણીની માગણી કરવા સંબંધે પોલીસે 15 જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સુરક્ષા દીવાલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને કામ રોક્યું હતું. તેમણે સબ- કોન્ટ્રાક્ટર પાસેથી કામ ચાલુ રાખવું હોય તો ખંડણી આપવી પડશે એવી ધમકી આપી હતી, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. સબ- કોન્ટ્રાક્ટરની ફરિયાદ અનુસાર આરોપીઓએ શ્રમિકોને ધાકધમકી આપી હતી અને તેમને સ્થળ પરથી ભગાવી દીધા હતા. સબ- કોન્ટ્રાક્ટર અનુસાર શુક્રવારે વાડા વિસ્તારમાં મુસર્ણે ખાતે કંપની માટે સુરક્ષા દીવાલ નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું હતું અને પોતે ત્યાં દેખરેખ રાખતો હતો. સાંજના સમયે આરોપો લકઝરી કારોમાં આવ્યા હતા. તેઓ માટી ખોદવાના યંત્રો લાવ્યા હતા અને કંપનીનો પહોંચ રસ્તો અવરોધવા માટે ખાડો ખોદી નાખ્યો હતો. આ પછી તેમણે કામ ચાલુ રાખવું હોય તો દરેક મહિને રૂ. 5 લાખ આપવા પડશે એવી માગણી કરી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ખંડણી, ગેરકાયદેસર રીતે એકઠા થવું, ફોજદારી કાવતરું અને હેતુપૂર્વક અપમાન હેઠળ પાંચ ઓળખવામાં આવેલા અને 10થી વધુ અજ્ઞાત શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, એમ વાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
હોટેલ અને રેસ્ટોરાં સંચાલકોને રાહત:કમર્શિયલ ગેસ સપ્લાયમાં 20% વધારો
ઈરાન- અમેરિકા- ઈઝરાયલ યુદ્ધને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રાજ્યના હોટેલ, ઢાબા અને રેસ્ટોરાં સંચાલકો માટે સારા સમાચાર છે. રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે રવિવારે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારના નિર્દેશો મુજબ કમર્શિયલ ગેસના પુરવઠામાં 20 ટકાનો વધારો કરવામાં આવશે. આનાથી નાના હોટેલિયરોને મોટી રાહત મળશે.અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સરકારે કમર્શિયલ ગેસના પુરવઠા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 21 માર્ચે જારી કરાયેલા જાહેરનામા મુજબ, અગાઉ રાજ્ય માટે ફક્ત 30 ટકા એલપીજી ફાળવણીને મંજૂરી આપવામાં આવી હતી. હવે, 23 માર્ચથી આગામી આદેશો સુધી, ફાળવણીમાં વધારાનો 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે, રાજ્યમાં કુલ ગેસ પુરવઠો કટોકટી પહેલાના સ્તરના 50 ટકા સુધી પહોંચી જશે. આ વધારાના 20 ટકા ગેસ પુરવઠામાં, હોટેલ, ઢાબા, રેસ્ટોરાં, ઔદ્યોગિક કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો અને ડેરી ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત, રાજ્ય સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત સબસિડીવાળી કેન્ટીન, કમ્યુનિટી કિચન તેમ જ સ્થળાંતરિત મજૂરો માટે અમલમાં મુકાયેલી યોજનાઓને પણ આ નિર્ણયનો લાભ મળશે. આ નિર્ણયથી હોટેલ અને ખાદ્યના વેપારીઓને મોટી રાહત મળશે જેઓ કમર્શિયલ એલપીજીની અછતને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ ગેસ મેળવવા માટે, તેમણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં નોંધણી કરાવવી પડશે અને પીએનજી કનેક્શન માટે અરજી કરવી પડશે,” એમ છગન ભુજબળે જણાવ્યું. કેરોસીન વિતરણ અંગે મહત્વપૂર્ણ નિર્ણયોબીજી તરફ, સરકારે રાજ્યમાં કેરોસીનના વિતરણ અંગે પણ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તે મુજબ, બાકી રહેલાં લાઇસન્સ આપમેળે રિન્યુ થયા હોવાનું માનવામાં આવશે. આ માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. ઉપરાંત વારસદારોના નામે લાઇસન્સ તાત્કાલિક ટ્રાન્સફર કરવા પણ સૂચના આપવામાં આવી છે. જે ગામડાંઓમાં છૂટક કેરોસીન લાઇસન્સ ઉપલબ્ધ નથી, ત્યાં વાજબી ભાવની દુકાનો ચલાવતા દુકાનદારોને છૂટક કેરોસીન લાઇસન્સ તરીકે ઓળખવા અને લાઇસન્સ આપવા સૂચના આપવામાં આવી છે. સરકારે 20 માર્ચે જારી કરેલા એક સરકારી પરિપત્રમાં તમામ જિલ્લા કલેક્ટરોને આ સંદર્ભે કાર્યવાહી કરવા સૂચના પણ આપી છે. આ બધા નિર્ણયોથી રાજ્યમાં ઇંધણ પુરવઠામાં ઝડપી વધારો થવાની શક્યતા છે.
કલ્યાણ રેલવે સ્ટેશન પર રવિવારે બપોરે એક અજાણ્યો યુવક ઓવરહેડ વાયરના થાંભલા પર ચઢી ગયો અને બે કલાક સુધી રેલવે પ્રશાસનને બંધક બનાવ્યું. પ્રશાસને વીજ પુરવઠો કાપીને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે, યુવકને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તે થાંભલા પરથી નીચે પડી ગયો. આ દુર્ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સાથે મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર બે કલાક સુધી ખોરવાઈ ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરોએ જોયું કે કલ્યાણ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 અને 2 ની વચ્ચે એક યુવાન વીજળીના થાંભલા પર ચઢી ગયો હતો. ઓવરહેડ વાયર હજારો વોલ્ટ વીજળી વહન કરી રહ્યો હોવાથી સ્ટેશનમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને કારણે, રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કોઈ મોટી દુર્ઘટના ટાળવા માટે, પ્રશાસને તાત્કાલિક તે લાઇન પર વીજ પુરવઠો કાપી નાખવાનો નિર્ણય લીધો હતો. પોલીસે યુવકને મેગાફોન દ્વારા વારંવાર નીચે ઊતરવા વિનંતી કરી, તેની માગણીઓ પૂછી, પરંતુ યુવક ખૂબ જ પરેશાન હાલતમાં હતો અને કોઈની વાત સાંભળવાના મૂડમાં નહોતો. કેટલાક મુસાફરો અને યુવાનોએ તેને મદદ કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેણે કોઈને નજીક આવવા દીધા નહીં. ભીડના સમયે આ ઘટના બની હોવાથી, કલ્યાણથી સીએસએમટી તરફનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. લોકલ ટ્રેનો લગભગ 120 મિનિટ સુધી વિવિધ સ્થળોએ અટવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થઈ હતી. લગભગ બે કલાક સુધી ચાલેલા આ નાટક પછી, યુવકે થાંભલા પરથી પ્લેટફોર્મ શેડ પર કૂદીને ભાગી જવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં, તે જીવંત વીજળીના વાયરના સંપર્કમાં આવ્યો અને તેને જોરદાર વીજળીનો આંચકો લાગ્યો.
મુખ્ય મંત્રી ફડણવીસનું નિવેદન:મારી પાસે ઢોંગી બાબા અશોક ખરાતના સૌથી વધુ પુરાવા
કયા વિપક્ષી નેતાઓ ઢોંગી અશોક ખરાત પાસે જઈ રહ્યા હતા તેના પુરાવા હું આપી શકું છું. મારી પાસે સૌથી વધુ પુરાવા છે, પરંતુ તે પોલીસ પાસે છે, તે પોલીસનું કામ છે, જો ખરાતને મળેલા લોકોમાંથી કોઈ આમાં સંડોવાયેલું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જો તેઓ ફક્ત તેને મળ્યા હોવાથી કાર્યવાહી કરવાનું શરૂ કરીશું તો બધા જાણે છે કે કોણે તેને 40 કિમી પાણીની લાઈન આપી હતી, એમ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે વિવાદાસ્પાદ ઢોંગી બાબા અશોક ખરાત પર વિપક્ષોના સતત આરોપો બાદ મૌન તોડતાં જણાવ્યું હતું. ફડણવીસે કહ્યું કે ઢોંગી બાબા ખરાત પ્રકરણે હવામાં વાતો કરવાનો કોઈ અર્થ નથી. ખરાત પ્રકરણ બહુ ગંભીર છે, અમે તે કેસનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મહિલાઓ શરમથી આગળ આવતી નથી, પરંતુ પીડિત મહિલાઓને, તેમના પરિવારોને હિંમત આપીને આગળ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલીક મહિલાઓ આનો જવાબ આપી રહી છે. મેં રાજ્ય પોલીસ પ્રમુખને આ પ્રકરણની તપાસ કરવા સૂચના આપી છે, તેઓ આ બધા કેસ પર નજર રાખી રહ્યા છે. એસઆઈટી અને નાશિક પોલીસ કમિશનર પણ આ પ્રકરણની તપાસ કરી રહ્યા છે. આ પ્રકરણમાં જો કોઈ કસૂરવાર હોય તો તેમને છાવરવામાં આવશે નહીં, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. મહિલાને ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશુંદેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમને રાજકારણમાં રસ નથી પણ મહિલાઓના ગૌરવમાં છે. અમે પહેલાં મહિલાઓ સાથે થયેલા અન્યાયની તપાસ કરીશું, અમે દરેક મહિલાને ન્યાય આપવાનો પ્રયાસ કરીશું. ફોટોને લઈને આરોપ નિરર્થક છેદેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ખરાત પ્રકરણને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કોઈ પાસે પુરાવા હોય તો તેમણે ચોક્કસપણે તે સુપરત કરવા જોઈએ અને તેને આધારે અમે સંબંધિતો સામે કાર્યવાહી કરીશું, પરંતુ બિનજરૂરી રીતે દરેક બાબતને રાજકીય રંગ આપવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ. સરકાર અને પોલીસ જે કરવાનું છે તે કરશે અને કડક કાર્યવાહી કરશે. ફોટો કોઈનો પણ હોઈ શકે છે, પરંતુ કેબિનેટ બેઠક બોલાવીને અશોક ખરાતની સંસ્થાને પાણી પૂરું પાડવા માટે 40 કિલોમીટરની પાઇપલાઇન વાળનાર મંત્રી વિશે વિપક્ષ કેમ ચૂપ છે? ફક્ત ફોટોના આધારે રાજકારણ કરનારાઓ આ નીતિગત નિર્ણય પર કેમ ચૂપ રહ્યા છે, એવો પ્રશ્ન ફડણવીસે પૂછ્યો છે. નોંધનીય છે કે ગત મહાવિકાસ આઘાડી સરકારમાં ખેડૂતો માટેના ડેમના પાણીને ખરાતની સંસ્થાને વાળવામાં આવ્યું હતું તે મુદ્દે ફડણવીસે બોલતા હતા.
સીટી એન્કર:સીએસએમટીની હેરિટેજ ઈમારત ચમકાવવા સેન્ડ પોલિશિંગની પ્રક્રિયા
મુંબઈમાં વાહનોના લીધે થતું પ્રદૂષણ, ધુળ, ધુમાડાના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની હેરિટેજ ઈમારતના કાળા ડાઘ પડી રહ્યા છે. તેથી ઈમારતની સુંદરતા પર અસર થઈ રહી છે. એના પર ઉપાય તરીકે મધ્ય રેલવેએ સેન્ડ ક્લિનિંગ (રેતીથી સફાઈ) પદ્ધતિ દ્વારા ઈમારતની સ્વચ્છતા કરવાની શરૂઆત કરી છે. આ આખુ વર્ષ ચાલનારી પ્રક્રિયા છે અને અત્યારે મુખ્ય ઈમારતની સ્વચ્છતાનું કામ ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. સીએસએમટીની આ ઈમારત ગોથિક સ્થાપત્ય શૈલીનો ઉત્તમ નમૂનો છે. 1888માં બાંધેલી આ ઈમારત યુનેસ્કોના વૈશ્વિક વારસાસ્થળોમાં સ્થાન મેળવનારી ભારતની ગણતરીની ઈમારતોમાંથી એક છે. રાતદિવસ વાહનોની અવરજવરના લીધે નિર્માણ થતો ધુમાડો અને પ્રદૂષણ આ સ્થાપત્ય ઈમારતની ભીંત પર ચોંટી જાય છે જેના લીધે કાળાશ પડી રહી છે. પરિણામે ઈમારતનું સૌંદર્ય મેલુ દેખાય છે. આવી પરિસ્થિતિમાં મધ્ય રેલવેએ સેન્ડ ક્લિનિંગ પદ્ધતિથી સ્વચ્છતા અને દેખભાળ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયામાં હવાના નિયંત્રિત દબાણથી પાણી અને રેતીનો ફૂવારો છોડવામાં આવે છે. ઈમારત પર કાળા ડાઘ અને પ્રદૂષણ હટાવવામાં આવે છે. સ્થાપત્ય ઈમારતના મૂળ રંગને કોઈ નુકસાન થતું નથી. આ પ્રક્રિયામાં પર્યાવરણપૂરક પદ્ધતિ વાપરવામાં આવે છે. સીએસએમટી એક ઐતિહાસિક વારસાવાળી ઈમારત છે. આ ઈમારતની સ્વચ્છતા સમયાંતરે જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. આ કામ કરવા આંતરરાષ્ટ્રીય રેટિંગ અનુસાર કેટલીક સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે. એમાંથી એક સંસ્થા દ્વારા સફાઈ કરાવવામાં આવે છે એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું. સેન્ડ ક્લિનિંગ એટલે શું?સેન્ડ ક્લિનિંગ પદ્ધતિ એટલે રેતી અને પાણીના મિશ્રણને નિયંત્રિત દબાણથી ઈમારતની ભીંત પર ચોંટેલા પ્રદૂષણનો થર દૂર કરવામાં આવે છે. રસાયણોનો ઉપયોગ ટાળીને આ પ્રક્રિયા કરવામાં આવે છે. તેથી ઈમારતની સ્થાપત્ય શૈલી પર કોઈ અસર થતી નથી. એના માટે કુશળ કોન્ટ્રેક્ટરની નિમણુક કરવામાં આવે છે એમ અધિકારીએ જણાવ્યું હતું. સેન્ડ ક્લિનિંગ પદ્ધતિના લીધે ઈમારતનું મૂળ સ્વરૂપ ફરીથી દેખાશે. ઉપરાંત ઈમારતની પથ્થરવાળી ભીંત પરની કલાકૃતિઓને પ્રદૂષણનું જોખમ ઓછું થાય છે એવી માહિતી મધ્ય રેલવેએ આપી હતી.
પ્રવાસીઓનો પ્રવાસ સહેલો થશે:કુર્લાથી BKC પોડટેક્સી માટે રેલવે દ્વારા પાર્કિંગની જગ્યા
કુર્લા રેલવે સ્ટેશનથી બીકેસી જતા પ્રવાસીઓનો પ્રવાસ સહેલો થશે. એમએમઆરડીએએ કુર્લા સ્ટેશનથી પોડટેક્સી શરૂ કરવાની યોજના તૈયાર કરી છે. કુર્લા સ્ટેશનની બહાર 1370.8 સ્કવેર મીટર જગ્યા મધ્ય રેલવે પ્રશાસને પોડટેક્સીના પાર્કિંગ માટે ઉપલબ્ધ કરી આપી છે. આ પ્રકલ્પ માટે એમએમઆરડીએએ મધ્ય રેલવે પ્રશાસનનો સંપર્ક કર્યો છે. મુંબઈ લોકલના કેટલાક સ્ટેશનને મેટ્રો સ્ટેશન સાથે સ્કાયવોક દ્વારા જોડવામાં આવ્યા છે. એ જ પ્રમાણે કુર્લા સ્ટેશનને પણ પોડટેક્સી દ્વારા જોડવામાં આવશે. અત્યારે કુર્લા રેલવે સ્ટેશનથી બીકેસી પહોંચવું પડકારજનક બન્યું છે. બસ સમય પર ન આવવી, શેર-એ-ઓટો ચાલકોનો ત્રાસ પ્રવાસીઓએ ભોગવવો પડે છે. પોડટેક્સીના લીધે અવરજવરની સમસ્યા હળવી થશે અને કનેક્ટિવિટી સુધરશે. લગભગ 6 લાખ લોકો દરરોજ કુર્લાથી બીકેસી પ્રવાસ કરે છે. પોડટેક્સી શરૂ થયા પછી બાન્દરા અને કુર્લા સ્ટેશનની પ્રવાસી સંખ્યા વધે એવી શક્યતા છે. જેમ મેટ્રોની શરૂઆત પછી અંધેરી અને ઘાટકોપર સ્ટેશનમાં ગિરદી વધી છે એવી જ રીતે કુર્લા અને બાન્દરા સ્ટેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધશે. અત્યારે કુર્લા સ્ટેશનમાં દરરોજ 2 લાખ 93 હજાર અને બાન્દરા સ્ટેશનથી 2 લાખ 80 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરે છે. પીક અવર દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધારે હોય છે. પોડટેક્સીથી આ પરિસ્થિતિને માત કરી શકાશે. બીકેસીથી કુર્લા પ્રવાસ માટે કિલોમીટર દીઠ અંદાજે 21 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પ્રકલ્પની લંબાઈ 8.8 કિમી છે અને અંદાજે ખર્ચ 1016.34 કરોડ રૂપિયા છે.
પ્રવાસ થશે વધુ આરામદાયક:એપ્રિલથી CSMTથી ગોરેગાવ હાર્બર રૂટ પર પણ AC લોકલ
હાર્બર રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ગોરેગાવ રૂટ પર પણ હવે એસી લોકલની ફેરીઓ દોડશે. એપ્રિલ મહિનામાં ઉપનગરીય રેલવેનું નવું ટાઈમટેબલ લાગુ થયા પછી મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડતી પ્રથમ એસી લોકલ પ્રવાસીઓ માટે શરૂ થઈ શકે છે એવી માહિતી વરિષ્ઠ રેલવે અધિકારીએ આપી હતી. મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડતો હાર્બર લાઈનનો સીએસએમટી-ગોરેગાવ રૂટ લાખો નિયમિત પ્રવાસીઓ માટે ઉપયોગી છે. આ રૂટ પર દરરોજ 100થી વધુ લોકલ ફેરી ચાલે છે. અહીંના પ્રવાસીઓની વધતી માગણી ધ્યાનમાં લઈને કેટલીક નોન-એસી લોકલનું એસી ફેરીમાં રૂપાંતર કરવાનો પ્રસ્તાવ તૈયારી કરી રહ્યા છીએ. એને હજી મંજૂરી મળી નથી. મધ્ય અને પશ્ચિમ રેલવે સંબંધિત પ્રસ્તાવને સહિયારી મંજૂરી આપશે તો 1 એપ્રિલથી નવા ટાઈમટેબલમાં સીએસએમટી-ગોરેગાવ એસી લોકલ ફેરીઓનો સમાવેશ થાય એવી શક્યતા છે. અત્યારે સીએસએમટીથી વાશી અને પનવેલ જતી દર બે કે ત્રણ લોકલ પછીની લોકલ બાન્દરા કે ગોરેગાવ હોય છે. સીએસએમટીથી બાન્દરા-ગોરેગાવ રૂટ પર દરરોજ 3 થી 5 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેમની સગવડ માટે એસી લોકલની એક રેક દાખલ કરવામાં આવશે. એના લીધે સીએસએમટીથી ગોરેગાવ રૂટ પર દરરોજ 12 થી 14 ફેરી ચલાવી શકાશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. રેલવે પ્રશાસન તમામ રૂટ પર એસી લોકલ વધારવાનું નિયોજન કરે છે. આ ફેરીઓ માટે નોન-એસી લોકલ એટલે કે હાલની સાદી લોકલ ફેરીઓ રદ કરવામાં આવે છે. તેથી મોંઘી ટિકિટ લઈને આરામદાયક પ્રવાસ કરનારા માટે સગવડ થશે.
1000 કૂતરાઓ રાખવાની સુવિધા ઉપલબ્ધ કરાશે:રખડતા કૂતરાઓ માટે શેલ્ટર હોમ ઊભું કરવા માલવણીમાં જમીન
રખડતા કૂતરાઓના પ્રશ્ન પરથી સુપ્રીમ કોર્ટે કાન આમળ્યા પછી હવે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ એના પર ઉપાયયોજના શરૂ કરી છે. એ અનુસાર સૌથી શ્રીમંત મહાપાલિકા ગણાતી મુંબઈ મહાપાલિકાએ શહેરના રખડતા કૂતરાઓની વધતી સંખ્યા પર નિયંત્રણ રાખવા અને તેમને સુરક્ષિત નિવાસ ઉપલબ્ધ કરવા માલવણી પરિસરમાં નવું એનિમલ શેલ્ટર હોમ ઊભું કરવાની તૈયારી કરી છે. આ કેન્દ્ર માટે રાજ્ય સરકાર તરફથી લગભગ 5 એકર જમીન ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ બાબતની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાની માહિતી મહાપાલિકા પ્રશાસને આપી છે. અત્યારે મહાપાલિકા પાસે શહેરમાં 8 શેલ્ટર હોમ કાર્યરત છે. જો કે રખડતા કૂતરાઓની સંખ્યાની સરખામણીએ એ ઓછા પડે છે. તેથી માલવણીમાં ઊભા થનારા નવા કેન્દ્રમાં એક હજારથી વધુ રખડતા કૂતરાઓ રાખવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે એવી માહિતી મહાપાલિકા અધિકારીએ આપી હતી. મહાપાલિકાએ રખડતા કૂતરાઓના નિયંત્રણ માટે વિવિધ ઉપાયયોજના શરૂ કરી છે. એમાં નવા શેલ્ટર હોમ ઊભા કરવા, હાલના કેન્દ્રોની ક્ષમતા વધારવી, વેટરનરી મેડિકલ સેવાનું વિસ્તરણ કરવાનો સમાવેશ છે. માલવણીમાં જગ્યા મળ્યા પછી પશ્ચિમ ઉપનગરોમાં એનિમલ શેલ્ટર હોમની સંખ્યા વધતા રખડતા કૂતરાઓના વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે એવો વિશ્વાસ પ્રશાસને વ્યક્ત કર્યો છે. મહાપાલિકાનું નિયોજનમહાપાલિકાના નિયોજન અનુસાર શહેરમાં પકડેલા રખડતા કૂતરાઓની પહેલાં નસબંધી અને રસીકરણ કરીને એ પછી તેમને સંબંધિત પરિસરમાં છોડવાની પદ્ધતિ છે. જો કે ગંભીર જખમી, બીમાર કે આક્રમક કૂતરાઓને હંગામી નિવાસ આપવા અતિરિક્ત જગ્યાની જરૂર પડતી હતી. એના માટે મહાપાલિકા તરફથી જગ્યાની શોધ ચાલુ હતી. હવે માલવણીમાં 5 એકર જમીન અંતિમ કરવામાં આવી છે. આ પ્રસ્તાવિત કેન્દ્રના લીધે રખડતા કૂતરાઓના શેલ્ટર હોમની સમસ્યા થોડા પ્રમાણમાં ઓછી થવામાં મદદ થશે.
મહાપાલિકાએ ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ મહત્વકાંક્ષી પ્રકલ્પ હાથમાં લીધો છે. મહાપાલિકાએ આ રસ્તા વિકાસ પ્રકલ્પના બાધિતો માટે મુંબઈ પ્રકલ્પ બાધિત ગૃહનિર્માણ પ્રકલ્પ અંતર્ગત કાંજુરમાર્ગ પશ્ચિમ ખાતે લીધેલી લગભગ 10 હજાર 50 સ્કવેર મીટર એરિયા પર 7 ઈમારતોમાં 906 ઘરનું બાંધકામ કરી રહી છે. આ કામ ઝડપથી ચાલુ છે. એમાં બે ઈમારતોનું કામ અંતિમ તબક્કામાં છે અને 252 પ્રકલ્પબાધિતોનું માર્ચ 2026 સુધી પુનર્વસન કરવામાં આવશે. ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પ ચાર તબક્કામાં પ્રસ્તાવિત છે. આ પ્રકલ્પના લીધે બાધિત નાગરિકોને રહેવા માટે મહાપાલિકા તરફથી કાંજુરમાર્ગ પશ્ચિમ ખાતે લગભગ 10 હજાર 50 સ્કવેર મીટર એરિયા પર 7 ઈમારતો બાંધવામાં આવી રહી છે. એમાં 23 માળાની ઈમારતોનો સમાવેશ છે. આ ઈમારતોમાં કુલ 906 ઘર છે. દરેક ઘરનો એરિયા 300 સ્કવેર ફૂટ છે. એમાં હોલ, બેડરૂમ વીથ એટેચ્ડ બાથરૂમ અને રસોડાનો સમાવેશ છે. તેમ જ પ્રકલ્પના પરિસરમાં બજાર, સભાગૃહ, લાયબ્રેરી, આરોગ્ય કેન્દ્ર, ગંદા પાણીનું પ્રક્રિયા કેન્દ્ર વગેરે સુવિધા પૂરી પાડવામાં આવશે. અતિરિક્ત મહાપાલિકા આયુક્ત અભિજિત બાંગરે તાજેતરમાં આ ઘરોનું નિરીક્ષણ કર્યું હતું. ઘરમાં અંતર્ગત રચના, પાણી, સ્વચ્છતાગૃહ, વીજ, લિફ્ટ, દાદરા, અગ્નિસુરક્ષા ઉપાયયોજનાની ગુણવત્તા, તેમ જ એ સંબંધિત બાબતોની માહિતી લીધી હતી. બાકીના ઘરનું બાંધકામ નિયત સમયમાં પૂરું કરવું જેથી એ વહેલાસર પ્રકલ્પબાધિતોને સુપ્રત કરી શકાય. તેમ જ પ્રકલ્પના ઠેકાણે પૂરી પાડવામાં આવતી સુવિધાઓની પૂર્તી કરવા જરૂરી ઉપાયયોજના કરવી એવો આદેશ બાંગરે આપ્યો હતો. ઘરોનું બાંધકામ યોગ્ય રીતે અને દરજ્જાદાર ચાલુ છે. અહીં રહેવા આવનારા માટે સુવિધાઓ ચોક્કસ સમયમાં પૂરી કરવી તેમ જ બાંધકામ સમયસર પૂરું કરવું અને બાધિતોને ઉપલબ્ધ કરવા. એના માટે યોગ્ય નિયોજન અને અમલબજાવણી કરવી જેવી સૂચના બાંગરે આપી હતી. માર્ચ-એપ્રિલમાં ઓસી મળશેગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પ તબક્કા 3 અંતર્ગત જૂન 2026થી ટીબીએમ દ્વારા અંડરગ્રાઉન્ડ ખોદકામની શરૂઆત કરવામાં આવશે. એ પહેલાં અમરનગર ખાતે લોન્ચિંગ શાફ્ટનું કામ શરૂ થવું અપેક્ષિત છે. એના માટે જગ્યાની જરૂર છે. અમરનગર ખાતેના પ્રકલ્પબાધિતોનું કાંજુરમાર્ગ પશ્ચિમ ખાતે પુનર્વસન કરવામાં આવશે. પાત્ર કુટુંબોને પુનર્વસન માટે 7 ઈમારતોમાં 300 સ્કવેર ફૂટના ઘર બાંધવામાં આવી રહ્યા છે. 2 ઈમારતોનું બાંધકામ પૂરું થયું છે અને માર્ચ 2026માં ઓસી મળવી અપેક્ષિત છે. તેથી પ્રથમ તબક્કામાં 25 ઘર ઉપલબ્ધ થશે. બાકીની 5 ઈમારતોને એપ્રિલ 2026માં ઓસી મળવી અપેક્ષિત છે એમ બાંગરે જણાવ્યું હતું.
રેલયાત્રીઓના સુરક્ષામાં થશે વધારો:ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ ટ્રેન ટૂંક જ સમયમાં શરૂ થશે
મધ્ય રેલવેમાં મુંબ્રા ખાતે દોડતી લોકલમાંથી પડી જતા પ્રવાસીઓના મૃત્યુ થયાની ઘટના 2025માં બની હતી. એના પર ઉપાય તરીકે રેલવે મંડળે ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ ચલાવવાનો નિર્ણય લીધો હતો. એ પછી ચેન્નઈ સ્થિત ઈંટિગ્રલ કોચ ફેકટરીમાં ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ તૈયાર કરવામાં આવી. આ લોકલ ટૂંક સમયમાં મધ્ય રેલવેના કાફલામાં દાખલ થશે. તેમ જ માર્ચના અંત સુધી એક એસી લોકલનો પણ ઉમેરો થશે. કલ્યાણ-થાણે દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઘણી વધી છે. એની સરખામણીએ લોકલ ફેરીની સંખ્યા ઓછી છે. તેથી દોડતી લોકલમાંથી પડી જતા પ્રવાસીના મૃત્યુ થાય છે. દિવા-મુંબ્રા દરમિયાન 9 જૂન 2025ના એક સાથે 13 પ્રવાસીઓ લોકલમાંથી પડી ગયા હતા. એમાં 9 પ્રવાસીઓ જખમી થયા અને 4 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આ ઘટના પછી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે મંડળના અધિકારીઓએ ઈંટિગ્રલ કોચ ફેકટરીની બેઠક થઈ હતી. સામાન્ય લોકલની રચનામાં ફેરફાર કરીને હવાની અવરજવર થતી રહે એવી પદ્ધતિની રચના કરીને ડબ્બા તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી. રેલવે મંડળે ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ ચલાવવાનો નિર્ણય લીધો. આઈસીએફે ઓટોમેટિક દરવાજાવાળી લોકલ તૈયાર કરી છે જે મધ્ય રેલવેના કાફલામાં દાખલ થશે. આ લોકલનું પરીક્ષણ ઓછી ગિરદીના સમયે અને ગિરદીના સમય કર્યા પછી પ્રવાસીઓની સેવામાં દાખલ કરવામાં આવશે એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આપી હતી. સામાન્ય લોકલના ઓટોમેટિક દરવાજામાં લુવર્સ લગાડવામાં આવ્યા છે. એના લીધે આ લુવર્સમાંથી હવાની અવરજવર થતી રહેશે. ડબ્બામાં તાજી હવા આવતી રહે એ માટે લોકલની છત પર વાયુવિજન યંત્રણા હશે. તેમ જ એસી લોકલ પ્રમાણે એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જવું શક્ય થશે.
સિટી એન્કર:જૈનાચાર્ય શ્રી યોગતિલકસૂરિજીની વાણીના પ્રભાવે 64 દીક્ષાના વધામણા
દીક્ષા ધર્મના મહાનાયક જગમશહૂર જૈનાચાર્ય શ્રીમદ્ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્યમય વાણીના પ્રભાવે ગત મહા વદ ૭ તા.૮-૨-૨૬ ના મુંબઈ-મહારાષ્ટ્રની ધરા પર સદીઓમાં સૌપ્રથમવાર એક જ સાથે એક જ મંડપે ૬૪-૬૪ દીક્ષાઓ થઈ હતી. જૈનશાસનની બુનિયાદ એવા આ દીક્ષાધર્મના વધામણાર્થે ચૈત્ર સુદ ૩ તા.૨૧-૩-૨૬ ના મલબાર હિલ સ્થિત લોકભવનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન, રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢા આદિની ઉપસ્થિતિમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરોક્ત રાજકીય હસ્તીઓ દ્વારા પ્રભુમહાવીરે દર્શાવેલા સર્વોચ્ચ એવા નિષ્પાપજીવન-દીક્ષાજીવનની અનહદ સરાહના કરવામાં આવી હતી.અધ્યાત્મ પરિવાર દ્વારા પ્રદર્શની: આ આયોજન અંતર્ગત લોકભવનમાં સુપ્રસિદ્ધ જૈન સંસ્થા ‘અધ્યાત્મ પરિવાર’ દ્વારા વિવિધ પ્રદર્શનીઓને પ્રસ્તુત કરવામાં આવી હતી. જેને ઉપરાષ્ટ્રપતિશ્રી સહિત તમામ મંત્રીઓ દ્વારા દિલથી નવાજવામાં આવી હતી. આનંદમાં અભિવૃદ્ધિ સમ વૈશાખ સુદ ૯ તા.૧૧-૫-૨૬ ના લોનાવલા મુકામે ‘સૂરિયોગ’ની નિશ્રામાં જેઓ ભરયૌવન વયે દીક્ષા સ્વીકારવાના છે એ મુમુક્ષુરત્ન શ્રી સુવ્રતકુમારનું ઉપરાષ્ટ્રપતિશ્રી આદિ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. જૈનશાસની સેવા- સુરક્ષાની કાર્યનિધિ:સાથોસાથ ૬૪ દીક્ષા મહોત્સવ અંતર્ગત અધ્યાત્મ પરિવાર દ્વારા ચાલી રહેલા જૈનશાસનની સેવા-સુરક્ષાની કાર્યનિધિમાં જે મહાનુભાવોએ માતબર રકમથી લાભ લીધો હતો તે સર્વેનું પણ ઉપરાષ્ટ્રપતિશ્રી આદિ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. જૈનશાસનના અનેક અગ્રણીઓ-ટ્રસ્ટીવર્યો-શાસનસુભટો આ તમામ યાદગાર ક્ષણોના સાક્ષી બન્યા હતા. અવસરના સમાપન બાદ સર્વેની બેસાડીને બહુમાનપૂર્વક સાધર્મિકભક્તિ કરવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં બે અકસ્માતમાં બેના મોત:ચુવા પાસે ગાય આડી આવતા બેકાબૂ બાઈક પરથી પટકાયેલા વૃદ્ધનું મોત
બોરસદના ખાનપુર-ચુવા રોડ પર શનિવારે બપોરે બાઈક લઈને જતા બે વૃદ્ધ મિત્રો ગાય આડી ઉતરતાં રોડ પર પટકાયા હતા. જેને કારણે બાઈક પાછળ બેઠેલા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વિરસદના સરદાર આવાસ ફાટક પાસે 39 વર્ષીય અશ્વિનભાઈ ઉર્ફે લાલો ગિરીશભાઈ કાછીયા પટેલ રહે છે. તેમની સાથે તેમના 65 વર્ષીય સગા કાકા કનુભાઈ પરસોત્તમભાઈ પટેલ રહે છે. શનિવારે બપોરે કનુભાઈ તેમના મિત્ર રૂપેશ ચંદુભાઈ પરમાર સાથે બાઈક પર બેસી બોરસદ કામ અર્થે જતા હતા. તે વેળાએ રૂપેશભાઈ બાઈક ચલાવી રહ્યા હતા, જ્યારે કનુભાઈ બાઈક પાછળ બેઠા હતા. તેઓ ખાનપુર-ચુવા રોડ સ્થિત નહેર પાસેથી બાઈક પર પસાર થતા હતા. દરમિયાન અચાનક ગાય આવી ચઢતા જ તેમણે તેમના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બંને જણા રોડ પર પટકાયા હતા. જેમાં કનુભાઈને ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બીજા બનાવમાં બોરીયાવી પાસે વડોદરાથી અમદાવાદ નેશનલ હાઈવે 48 પર રામદેવ રાજ પુરોહિત ઢાબા સામે નોકરી પરથી ઘરે જઈ રહેલા બોરીયાવીના યુવક વિપુલ અર્જુન રાઠોડને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બંને બનાવ સંદર્ભે વિરસદ અને આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રજાજન પરેશાન:આણંદ પથિક આશ્રમ પાસે દર રવિવારે ભરાતાં શાકમાર્કેટથી ટ્રાફિક સમસ્યા વકરી
આણંદ શહેર મોટી શાકમાર્કેટ રવિવારે બંધ રહે છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી પથિક આશ્રમ પાસે એસટીબસો જવા માર્ગ પર વહેલી સવારથી શાકમાર્કેટ ભરાઇ જાય છે. શરૂઆત ખેડૂતો શાક વેચવા બેસતા હતા. મોટી સંખ્યામાં લોકો શાક ખરીદવા આવતાં હોવાથી પથિક આશ્રમ સહિત જૂના દાદર તરફ જવાનો માર્ગ તેમજ જૂના બસ સ્ટેશન તરફ જવાનો માર્ગ બ્લોક થઇ જતાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે.તેમજ શાકમાર્કેટ ઉઠયા બાદ વેપારીઓ શાકભાજીનો કચરો ત્યાં છોડી દેતા હોવાથી ગંદકીનું સામ્રાજય છવાય જાય છે.તેમ છતાં મનપા કે તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમૂલ ડેરી માર્ગ પર આવેલ મોટી શાકમાર્કેટ પ્રત્યેક રવિવારે બંધ રાખવામાં આવતાં પાલિકા હોય કે હવે તંત્રની મૂક સંમતિથી પથિક આશ્રમથી બસ સ્ટેશન તરફ જવા રસ્તા પર શાકમાર્કેટ ભરાય છે. જયાં 70થી વધુ વેપારીઓ શાક વેચવા બેસી જાય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તેમજ સ્વચ્છતા અભિયાન ના લીરા ઉડતાં જોવા મળે છે. ગંદકીના કારણે રખડતા પશુઓ અડીંગો જમાવી દેતા હોવાથી રાહદારીઓ તથા ટુ વ્હીલર ચાલકો ને રખડતા ઢોર ભેખડે ચઢાવતા હોવાની ધટના બનતી હોય છે.તેમ છતાં તંત્ર ના આંખ આડા કાન કેમ?ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.એક તરફ મનપા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હેઠળ સ્ટેશન વિસ્તારમાં થી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રત્યેક રવિવારે મુખ્ય માર્ગ પર શાકમાર્કેટ ના દબાણ કેમ? જેવા સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળેલ છે. રવિવારે શાકમાર્કેટ ચાલતુ હોય તો વેન્ડીંગ ઝોન કેમ ના ચાલેપાલિકાના શાસનમાં પથિક આશ્રમ પાસે 70 બ્લોક બનાવીને વેન્ડીંગ ઝોન ફાળવીને લારી પાથરણાવાળા માટે જગ્યા ફિકસ કરી હતી.ત્યારે અહીં કોઇ ખરીદવા આવતું નથી. તેવું બહાનું બતાવી લારીઓવાળા ત્યાં જતા નથી. ત્યારે આ જગ્યાએ દર રવિવારે ભરતા શાકમાર્કેટમાં મોટી સંખ્યામાં ખરીદવા માટે આવે છે. તો વેન્ડીંગ ઝોન બનાવીને લારીઓ ઉભી રખાય તો ગ્રાહકોને જાણ થતાં ત્યાં પણ લોકો ખરીદવા માટે આવતા થાય તેમ છે. પરંતુ લારીઓ વાળા મુખ્ય માર્ગો પરથી હટવું નહીં હોવાથી બહાન બતાવે છે.
રામોસણા વ્હોળા પર બીજો કમળપથ બનશે:મોઢેરા રોડ રાધનપુર રોડ અને રામોસણા ગામ એકબીજાથી જોડાશે
મહેસાણાના રાધનપુર રોડની એક તરફ બનાવેલ કમળપથની જેમ હવે તેની સામેની બાજુ રામોસણા તરફ રૂ.145.87 કરોડના ખર્ચે 2.92 કિમી લાંબા ખુલ્લા વ્હોળા ઉપર RCC બોક્સ કલ્વર્ટ સાથે રોડ બનાવવામાં આવશે. આ કામનું રવિવારે મુખ્યમંત્રીના હસ્તે વિસનગર ખાતે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થવાનો અંદાજ છે. હાલ ખુલ્લા વ્હોળામાં ગંદકી દુર્ગંધથી પરેશાન આસપાસની સોસાયટીના રહીશોને મોટી રાહત મળશે. સાથે જ મચ્છરોના ઉપદ્રવમાં પણ ઘટાડો થશે તેવી અપેક્ષા છે. નવો રોડ બનતાં રાધનપુરથી રામોસણા સુધી સીધું જોડાણ મળશે, જેના કારણે વાહન વ્યવહાર સરળ બનશે. પ્રોજેક્ટમાં રેલવે લાઇન સુધીનો માર્ગ, સર્વિસ રોડ તેમજ બંને બાજુ ફૂટપાથ બનશે. જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓ બંનેને સુવિધા મળશે. મનપા વિસ્તારમાં કુલ 43 વિકાસ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. તેમાં ₹8.46 કરોડના ખર્ચે 18 રસ્તાઓ, ₹1.50 કરોડના સ્ટ્રીટલાઇટ પ્રોજેક્ટ અને ₹1.39 કરોડના ખર્ચે 15 આંગણવાડીઓના અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. સાથે જ ચાર નવા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેમાં ₹8.97 કરોડના STP પ્લાન્ટ, પરા તળાવ ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન સાથેનું રીડેવલપમેન્ટ અને ₹1.30 કરોડના ખર્ચે ફતેપુરા સર્કલના વિકાસ કાર્યનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટના મુખ્ય ફાયદા • આ માર્ગ બનતાં મોઢેરા રોડ, રાધનપુર રોડ અને રામોસણા ગામ એકબીજા સાથે જોડાશે.• નવા રોડનો નીચેનો ભાગ ગટર લાઈન તરીકે કાર્ય કરશે, જેથી વિસ્તારની સોસાયટીઓને ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા ઉપલબ્ધ થશે.• ગટર વ્યવસ્થાથી મચ્છરો અને દુર્ગંધથી છુટકારો મળશે, જે સ્થાનિકોના આરોગ્ય, પર્યાવરણ માટે લાભદાયક રહેશે. • મોઢેરા રોડથી રામોસણા જવાનું અંતર 6 કિમી (15-20 મિનિટ) થી ઘટીને 5.4 કિમી (માત્ર 10 મિનિટ) થશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે. • મોઢેરા રોડથી રામોસણા સુધી કમળપથની કુલ લંબાઈ 5.40 કિલોમીટર થશે. અગાઉ, વર્ષ 2021માં રૂ.54.99 કરોડના ખર્ચે મોઢેરા રોડથી રાધનપુર રોડ વચ્ચે ગંદા નાળા પર 2.5 કિમી કમળપથ બનાવાયો હતો. શહેરમાં 8 રસ્તા ડસ્ટ ફ્રી બનશે, ધૂળ પ્રદૂષણ ઘટશે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધૂળના પ્રદૂષણને ઘટાડવા માટે અંદાજે રૂ.3.50 કરોડના ખર્ચે આઠ મુખ્ય રસ્તાઓને સાઇડમાં બ્લોક નાંખીને ડસ્ટ ફ્રી બનાવવામાં આવશે. જેના કારણે ધૂળ ઉડતી અટકશે અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાશે. આ પ્રોજેક્ટથી હવામાં ફેલાતું ધૂળનું પ્રદૂષણ ઓછું થશે, જેના કારણે લોકોને રાહત મળશે. સાથે જ ધૂળથી થતી એલર્જીમાં પણ ઘટાડો થશે. 1.એરપોર્ટ એન્ટ્રી ગેટથી શિલ્પા ગેરેજ .2.શિલ્પા ગેરેજથી રાજકમલ પેટ્રોલ પંપ થઈ મોઢેરા સર્કલ સુધી. 3.શિલ્પા ગેરેજથી આંબાવાડી, સહકાર નગર થઈ પૂજન કોમ્પલેક્સ સુધી.4.સોમનાથ સર્કલથી તળેટી ગામ સુધી.5.રાજધાની ટાઉનશીપ પાસેનો સ્ટ્રેચ.6.ગાંધીનગર લિંક રોડથી ઉચરપી ગામ એપ્રોચ રોડ. 7.તાવડિયા રોડ.8.દૂધસાગર ડેરીથી રામોસણા અંડર બ્રિજ સુધીના રોડ ડસ્ટ ફ્રી બનશે. પરા તળાવમાંમનોરંજન વધશેરૂ.8 કરોડના ખર્ચે પરાતળાવ (સ્વામી વિવેકાનંદલેક)માં શહેરીજનો માટેમનોરંજનમાં વધારો થશે.અહીં તળાવમાં ફુવારાલાગી રહ્યા છે. પાણીનાફુવારા સ્ક્રીન લૂકમાં હ શે.આધુનિક બેઠક વ્યવસ્થા,ગ્રીનરીમાં વધારો થશે.
પોલીસ કાર્યવાહી:બેના મોત પછી પોલીસે ઓવરસ્પીડ અનેદારૂ પીધેલા પાંચ વાહનચાલકોને પકડ્યા
શહેરમાં અઠવાડિયા અગાઉ રાધનપુર રોડ પર એક જ રાતમાં બે અકસ્માતમાં એક યુવક અને એક યુવતીનું મોત થયું હતું. આ ગંભીર ઘટના બાદ તાલુકા અને બી ડિવિઝન પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં ઓવરસ્પીડ અને દારૂના નશામાં વાહન હંકારતા 5થી વધુ ચાલકોને પકડી તેમની સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, કિશોર વયના વાહનચાલકોના માતા-પિતાને બોલાવી તેમને કાયદાકીય સમજ આપી હતી. બી ડિવિઝન પીઆઈ એન.એસ. ઘેંટિયાએ જણાવ્યું કે, કપીલા હનુમાન પાસે થયેલા અકસ્માતમાં રસ્તો ઓળંગી રહેલા એક યુવકનું મોત થયું હતું, જ્યાં કોઈ સત્તાવાર રોડ ક્રોસિંગ નહોતું. જ્યારે તાલુકા પીએસઆઈ પી.એસ. જોશીએ જણાવ્યું કે, કાશી વિશ્વનાથ મંદિર પાસેના કટ પર વળતી વખતે એક યુવતીનું મોત થયું હતું. આ અકસ્માતમાં સામેવાળો બાઈક ચાલક પણ ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સીસીટીવીફૂટેજમાં ઓવર સ્પીડિંગ સ્પષ્ટ દેખાય છે અનેમૃતક વાહનચાલકે સાઈડ સિગ્નલ ન આપ્યુંહોવાથી પ્રથમ દ્રષ્ટિએ બંને પક્ષે ભૂલ જણાય છે. તાલુકા પીઆઈ ડી.આર. રાવે જણાવ્યું કે,રાધનપુર રોડ પર 100-150 મીટર આગળ યુ-ટર્નહોવા છતાં લોકો 50 મીટર માટે રોંગ સાઇડ લઈશોર્ટકટ લે છે, જે ખૂબ જ જોખમી છે. શહેરના રાધનપુર સર્કલ ખાતે ટ્રાફિક નિયમોના કડક અમલહેઠળ સિગ્નલ ભંગ કરનાર 120 વાહનચાલકોને ઇ-મેમો મોકલવામાં આવ્યા છે. છેલ્લા 15 દિવસ દરમિયાન કેમેરામાં કેદ થયેલા વાહનચાલકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઇ એચ.બી. સુથારે જણાવ્યું હતું.
મહેસાણા તાલુકાના ધોળાસણ ગામની સીમમાં બે દિવસથી દીપડાના આંટા ફેરા વધ્યા છે. તેના પગના નિશાન મળી આવતાં ગ્રામજનો ચિંતામાં મુકાયા છે અને એ કલા ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. શનિવારથી વન વિભાગની ટીમ પણ વિસ્તાર ખૂંદી રહી છે. રવિવારે રાત્રે બે પાંજરાં મૂકી જાળ બિછાવાઇ હતી. ધોળાસણ ગામના વતની અને મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભોગીલાલ પટેલે જણાવ્યું કે, સીમ વિસ્તારમાં અને ઓએનજીસીના ખાડાના ભાગમાં દીપડાના પગના નિશાનો જોવા મળ્યા છે. આ દરમિયાન એક કૂતરાનો શિકાર કર્યો છે. વન વિભાગના મહિલા ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમ રાત્રે અલગ અલગ બે જગ્યાએ પાંજરા લાવીને દીપડાની હરકતો પ્રમાણે શોધખોળ કરી રહી છે. ગામના સુરેશભાઈ બળદેવભાઈ પાસરીયાના ખેતરમાં ચીકુડી વાવેતર પટ્ટામાં પણ દીપડાના પગના નિશાન જોવા મળ્યા છે. રવિવારે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ફોરેસ્ટની ટીમ ગામથી થોડે દૂર આવેલ ચીકુડીની વાડીમાં અને ખેતર સીમમાં બે પાંજરા મૂક્યા હતા. ફોરેસ્ટ ઓફિસર ઉશીકાબેન પટેલે કહ્યું કે, દીપડો કે અન્ય કોઈ વન્ય પ્રાણી હોઈ શકે છે. ગામલોકો કહે છે, જોયો પણ સ્પષ્ટ થતું નથી શું જોયું. ચીકુડીની વાડીમાં વન્ય પ્રાણીના પગના ચિન્હો જોવા મળે છે. એક કૂતરાનું મારણ થયેલું છે. દીપડાના પગનાં નિશાન મળ્યા.
રમતગમત:કબડ્ડીમાં વડનગર, ખો-ખોમાં બહુચરાજી અને દોડમાં સતલાસણા પ્રથમ ક્રમે વિજેતા
માય ભારત મહેસાણા દ્વારા જિલ્લા કક્ષાની રમત ગમત સ્પર્ધા શનિવારે સરદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પાંચોટ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં વડનગર, બહુચરાજી તેમજ સતલાસણા તાલુકાના યુવક અને મહિલા મંડળોએ ભાગ લીધો હતો. જેમની વચ્ચે કબડ્ડી, વોલીબોલ, ખો-ખો તેમજ દોડની સ્પર્ધામાં રોમાંચક મુકાબલો જામ્યો હતો. કબડ્ડી સ્પર્ધામાં વડનગર, જ્યારે ખો-ખો સ્પર્ધામાં બહુચરાજી તાલુકો પ્રથમ ક્રમે રહ્યો હતો. 100, 200 અને 400 મીટરની દોડમાં પ્રથમ સ્થાને સતલાસણા, દ્વિતીય સ્થાને બહુચરાજી તેમજ તૃતીય સ્થાને વડનગર તાલુકો વિજેતા બન્યો હતો. જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના હસ્તે વિજેતાઓને ટ્રોફી અને ઇનામો આપવામાં આવ્યા હતા. સ્પર્ધા દરમિયાન વિવિધ રમતગમતના કોચ તેમજ મંડળોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
તંત્રની ઉદાસીનતાના લીધે લોકો થયા હેરાન:બહુચરાજી અંડરપાસમાં ગટર લીકેજથી ગંદકી
બહુચરાજીમાં માર્કેટયાર્ડ નજીક એલસી 69 અંડરપાસમાં છેલ્લા ત્રણ મહિનાથી ગટર લાઈન લીકેજની ગંભીર સમસ્યા સર્જાઈ છે. લીકેજને કારણે અંડરપાસમાં સતત ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને કાદવ-કીચડના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આથી સ્થાનિક રહેવાસીઓ તેમજ યાત્રિકોમાં ભારે રોષ ફેલાયો છે. શંખલપુર રોડ પરના આ રેલવે ફાટકના સ્થાને અંડરપાસ બનાવતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા પંચાયતની ગટર લાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. નવી લાઈન નાખવાની જગ્યાએ સિમેન્ટથી પેચવર્ક કરીને ગટર લાઈન જમીનમાં દાટી દેવાઈ હતી. હાલ આ જ લાઈન લીકેજ થતાં ગંદુ પાણી દીવાલોમાંથી ફૂટીને અંડરપાસમાં ભરાઈ ગયું છે. જેમાંથી એક ભાગમાં તો છેલ્લા ત્રણ મહિનાથી પાણી અને કાદવ ભરાયેલો જ રહે છે. આ માર્ગ બહુચરાજી અને શંખલપુર યાત્રાધામોને જોડે છે તેમજ 15થી વધુ સોસાયટીઓ અને 25થી વધુ ગામો માટે અગત્યનો માર્ગ છે. ચૈત્રી પૂનમે હજારો યાત્રિકો પગપાળા સંઘ સાથે આઅંડરપાસમાંથી પસાર થાય છે, ત્યારે જો સમારકામ કરવામાં નહીં આવો તો યાત્રિકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડશે. સ્થાનિકો દ્વારા રેલવેના ડીઆરએમ સહિત ઉચ્ચ અધિકારીઓને તેમજ સોશિયલ મીડિયા (X) પર રજૂઆતો કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા માત્ર કાગળ પર જવાબ આપી કામગીરી પૂર્ણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે વાસ્તવિક સ્થિતિ યથાવત છે. વિસ્તારના સંસદ સભ્ય અને ધારાસભ્ય આ ગંભીર સમસ્યા પ્રત્યે નિષ્ક્રિય છે. ત્રણ મહિનાથી લોકો અને યાત્રિકો મુશ્કેલીમાં હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
મહેસાણા શહેરમાં ત્રિકોણ આકારમાં આવેલ બી.કે. સર્કલને બે વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા બેઠક વ્યવસ્થા સાથે સુશોભિત કરવામાં આવ્યું હતું. જોકે આ સ્પેસ મેકિંગનો ખાસ ઉપયોગ થઈ રહ્યો નહોતો. બીજી તરફ, ભમ્મરિયા નાળાથી મોઢેરા સર્કલ સુધી એક કિલોમીટરથી વધુ અંતરમાં એકપણ જાહેર શૌચાલય સુવિધા ન હોવાથી રાહદારીઓ તેમજ ખરીદી માટે આવતાં લોકોને ટોયલેટ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે મહાનગરપાલિકા દ્વારા આ ત્રિકોણ સર્કલના એક ખૂણામાં પાળી બ્લોક તોડી શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આગામી એકાદ મહિનામાં અહીં નવીન જાહેર શૌચાલય સુવિધા ઉપલબ્ધ થશે.
વિજાપુરની એક પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક પ્રશંસનીય અને અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શાળાનાં શિક્ષિકા યોગેશ્વરીબેન પટેલે નોંધ્યું હતું કે, પ્રાર્થનાસભા કે વર્ગમાં બોલતી વખતે ઘણા વિદ્યાર્થીઓ ભારે સંકોચ અનુભવતા હતા અને તેમને શું બોલવું તેની સમજ પડતી નહોતી. બાળકોની આ નબળાઈને દૂર કરવા અને તેમનામાં આત્મવિશ્વાસ જગાડવા માટે તેમણે ધોરણ 8 થી ‘સ્ટાર ઓફ ધ ડે’ નામનો ઇનોવેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. રોજ છેલ્લા પિરિયડમાં 20 મિનિટમાં બાળકો પોતાનું કૌશલ્ય વર્ગ સમક્ષ રજૂ કરે અને શ્રેષ્ઠ હોય તેને ‘સ્ટાર’કાર્ડ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટના માત્ર બે મહિનામાં જ ખૂબ સકારાત્મક પરિણામો મળ્યા. હવે આ પ્રવૃત્તિ ધોરણ 5 થી 8ના તમામ વર્ગમાં નિયમિત કરવામાં આવે છે. શું છે આ પ્રોજેક્ટ? આ પ્રોજેક્ટ હેઠળ શાળાના છેલ્લા પિરિયડમાં દરરોજ 20 મિનિટનો સમય ફાળવવામાં આવે છે. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોઈ પણ પ્રવૃત્તિ, સર્જનાત્મકતા કે કૌશલ્ય આખા વર્ગ સમક્ષ રજૂ કરે છે. જે વિદ્યાર્થી પોતાની શ્રેષ્ઠ પ્રસ્તુતિ આપે, તેને પ્રોત્સાહન તરીકે ‘સ્ટાર'ના સિમ્બોલ વાળું કાર્ડ આપવામાં આવે છે. આ પ્રવૃત્તિથી બાળકોમાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળ્યો છે. માત્ર બે મહિનામાં જ છુપાયેલી પ્રતિભાઓ બહાર આવી. હકારાત્મક પરિણામ
ગમખ્વાર અકસ્માત સર્જાયો:લાંઘણજ-વડસ્મા રોડે કારની ટક્કરે એક્ટિવાચાલકનું મોત
મહેસાણા તાલુકાના લાંઘણજથી વડસ્મા તરફ જતા રોડ પર પૂરઝડપે આવતી સ્વીફ્ટ કારે એક્ટિવાને અડફેટે લેતાં એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કડી તાલુકાના ઘુમાસણ ગામના રાજેન્દ્રકુમાર બેચરદાસ પટેલ રવિવારે સવારે એક્ટિવા (GJ 02 ઇપી 1356) લઇ વિસનગર તાલુકાના કડા ગામે સધી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે 10.45 વાગ્યાના સુમારે વડસ્મા ગામ પાસે લાંઘણજ તરફથી પૂરઝડપે આવતી સ્વીફ્ટ કાર (GJ 02 ઇએન 1923)ના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં રાજેન્દ્રકુમારને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકને પોસ્ટમોર્ટમ માટે લાંઘણજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીએમ બાદ પરીવારને મૃતદેહ સોંપાયો હતો. આ બનાવ અંગે મૃતકના સંબંધી બળવંતભાઈ કાલીદાસ પટેલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને આધો પોલીસે તપાસ હાથ ધરી છે.
ગર્વની વાત:મહેસાણાની પ્રિશા સ્વિમિંગની નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
મહેસાણાની પ્રતિભાશાળી સ્વીમર (તરવૈયા) પ્રિશા વિનોદભાઇ પ્રજાપતિએ પૂણે ખાતે 22 અને 23 માર્ચે યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા વિમેન્સ ઝોનલ ચેમ્પિયનશિપમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. પ્રિશાએ 50 મીટર બટરફ્લાય તથા 400 મીટર વ્યક્તિગત મિડલેમાં ટોપ-4માં સ્થાન મેળવી નેશનલ માટે પસંદગી પામી છે. હવે તે આગામી 12 થી 14 એપ્રિલ દરમિયાન અમદાવાદ ખાતે યોજાનારી નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
કચ્છના નાના રણના સાંતલપુર પંથકમાં 18 માર્ચે ત્રાટકેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયા પરિવારોની આજીવિકા પર પાણી ફેરવી દીધું છે. આ ગંભીર સ્થિતિને પગલે અગરિયા હિત રક્ષક મંચ દ્વારા સરકારમાં રજૂઆત કરી પેકેજ જાહેર કરવા માંગ કરી છે. અગરિયા હિત રક્ષક મંચ દ્વારા જણાવ્યું હતું કે, વાવાઝોડામાં મીઠું પકવવા માટે વસાવેલી મોંઘીદાટ સોલર પમ્પિંગ સિસ્ટમો નષ્ટ થઈ છે અને ક્રિસ્ટલાઇઝરમાં તૈયાર થયેલું હજારો ટન મીઠું રણની માટીમાં ભળી જતાં 300થી વધુ પરિવારો આર્થિક પાયમાલીના આરે આવી ગયા છે. રણમાં રહેતા આ પરિવારોના કાચા આશિયાના તૂટી પડ્યા છે અને અનાજ-ઘરવખરી પલળી જતાં હાલ તેઓ ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા છે. અગરિયા હિત રક્ષક મંચે સરકાર સમક્ષ માંગ કરી છે કે, પ્રશાસન દ્વારા તાત્કાલિક રણ વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્તોને આર્થિક સહાય તથા ‘કેશડોલ્સ’ ચૂકવવામાં આવે. આ ઉપરાંત, નષ્ટ થયેલા સોલર સાધનોના પુનઃસ્થાપન માટે વિશેષ પેકેજ અને રણમાં ભરાતા નર્મદાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરાઈ છે. જો સમયસર સહાય નહીં મળે, તો પરસેવો પાડીને દેશને મીઠું પૂરું પાડતો અગરિયો દેવાના ડુંગર નીચે દબાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

27 C