શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા PGDM 2024-26 ના વર્ગને વિદાય સમારોહ યોજાયો. આ પ્રસંગે ૨૪૦ વિદ્યાર્થીઓએ તેમના વ્યાવસાયિક જીવનના આગલા તબક્કામાં પ્રવેશ કર્યો. કાર્યક્રમની શરૂઆત ઉર્જાવાન ડીજે સેટઅપ સાથે થઈ, જેણે આનંદ અને ઉજવણીનું વાતાવરણ બનાવ્યું. વિદ્યાર્થીઓએ તેમની બે વર્ષની યાદો તાજી કરી અને એકબીજા સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઇનામ વિતરણ સમારોહ હતો, જેમાં વિદ્યાર્થીઓને તેમના અનન્ય વ્યક્તિત્વ અને યોગદાન માટે સન્માનિત કરાયા. ઋષિકા ખટુરિયાને મિસ પોપ્યુલર અને હર્ષલ જૈનને મિસ્ટર પોપ્યુલરનો ખિતાબ મળ્યો. આરાધિતા શર્માને ફેશન આઇકોન અને અભિનવ ચૌધરીને ફિટનેસ ફ્રીક તરીકે સન્માનિત કરાયા. અમન જાગીરદારને તેમના શૈક્ષણિક સમર્પણ માટે 'લાઇબ્રેરી સોલ'નો ખિતાબ એનાયત થયો. અનુરાગ સિંહ અને સમૃદ્ધિ પાંડેને અનુક્રમે મિસ્ટર ફેરવેલ અને મિસ ફેરવેલના પ્રતિષ્ઠિત ખિતાબ મળ્યા. આ વિદાય સમારોહ ઉજવણી અને ચિંતનનું એક સુભગ મિશ્રણ હતું, જે એક સમૃદ્ધ શૈક્ષણિક સફરની પરાકાષ્ઠા દર્શાવે છે. વિદ્યાર્થીઓ શાંતિ બિઝનેસ સ્કૂલમાંથી મેળવેલા મૂલ્યો, અનુભવો અને મિત્રતા સાથે કોર્પોરેટ જગતમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.
વડોદરા શહેરમાં મોડી રાત્રે એક બેકાબુ કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા. આ અકસ્માતમાં ચાની લારી ઉપર બેઠેલા 3 લોકોને કારે અડફેટે લીધા હતા. જેમાં તેઓને ઈજાઓ પહોંચી હતી. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરમાં મોડી રાત્રે એક બેકાબુ કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. શહેરના ડેરી ડેન સર્કલ પાસે બનેલી આ ઘટનામાં કાર અચાનક કાબુ ગુમાવી ચાની લારીમાં ઘુસી ગઈ હતી. જેમાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા.આ અકસ્માતમાં ચાની લારી ઉપર બેઠેલા 3 લોકોને કારે અડફેટે લીધા હતા. જેમાં તેઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના કારણે કારનો આગળનો ભાગ તેમજ ચાની લારીને ભારે નુકસાન થયું હતું. ડેરી ડેન સર્કલ ખાતે મોડી રાત્રે ચા-નાસ્તા માટે લોકોનો ભારે જમાવડો રહેતો હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા જ સયાજીગંજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના રૂસ્તમપુરા સ્થિત શ્રીમતી ભીખીબેન બી. દારૂવાળા પ્રાથમિક શાળા ક્રમાંક 38 દ્વારા વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાના સહયોગથી રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો, જેમાં તેમને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, વાઇસ ચેરમેન રંજનાબેન ગોસ્વામી, ભૂતપૂર્વ સી.આર.સી. રાકેશભાઈ દેસાઈ, શાળા ક્રમાંક 65ના મુખ્ય શિક્ષક નાસિરભાઈ સૈયદ, ડો. હેમાલીબેન, સંગીત માર્ગદર્શક સુરેશભાઈ રાણા, SMC કમિટીના સભ્યો, નિવૃત્ત શિક્ષિકા તારકેશ્વરીબેન અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 100થી વધુ વિવિધ સ્પર્ધાઓની વિજેતા કન્યાઓને ઇનામો, પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર 16 વિદ્યાર્થીનીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રત્યેકને ₹1101 લેખે કુલ ₹17,606નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. ધોરણ 6ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર બે વિદ્યાર્થીઓને સાયકલ ભેટમાં આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ત્રણ કલાકથી વધુ ચાલેલા આ કાર્યક્રમની સફળતા બદલ શાળા પરિવાર અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ચાલતી કારમાંથી બહાર લટકી આતશબાજી કરતા યુવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ધમડાચી-ગુંદલાવ રોડ પર બની હોવાનું અનુમાન છે. વીડિયોમાં GJ 15 CZ 2746 નંબરની આર્ટિગા કારમાં યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચાર જેટલા યુવાનો ચાલુ કારમાંથી બહાર લટકીને આતશબાજી કરી રહ્યા છે. આ પ્રકારના સ્ટંટ માત્ર તેમના પોતાના જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ પ્રકારના જોખમી સ્ટંટ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને જાહેર સલામતી માટે ગંભીર ખતરો ઉભો કરે છે. આવા બેદરકાર કૃત્ય સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા છે.
શિવેન્દ્રનગર કેન્દ્રવર્તી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે 'સંભારણું' શીર્ષક હેઠળ વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાનમશાલ હસ્તાંતરણ અને સ્મૃતિ મંજુષા જેવા નવીન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ શાળાને સંગીતના સાધનોમાં નવા તબલાની એક જોડી અને એક ટેબલ ભેટ આપ્યા હતા. શાળા પરિવારે વિદ્યાર્થીઓને ₹100ની કિંમતના સ્ટેશનરી પાઉચ આપ્યા હતા. કાર્યક્રમની એક વિશેષતા 'સ્મૃતિ મંજુષા' હતી. જેમાં વિદ્યાર્થીઓએ આગામી 10 વર્ષના પોતાના લક્ષ્યો એક ચિઠ્ઠીમાં લખીને એક પેટીમાં મૂક્યા હતા. આ પેટીને 'ટાઈમ કેપ્સુલ' તરીકે શાળામાં સાચવવામાં આવશે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ શાળાની મુલાકાત લે ત્યારે પોતાના લક્ષ્યો જોઈ શકે. અન્ય એક નવીન કાર્યક્રમ 'જ્ઞાનમશાલ હસ્તાંતરણ' હતો, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓએ શાળાની જવાબદારીઓ પ્રતીકાત્મક રીતે ધોરણ 7ના વિદ્યાર્થીઓને સોંપી હતી. શાળાના તમામ શિક્ષકોએ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા ૨૭ માર્ચ, ૨૦૨૬ શુક્રવારના રોજ શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતરણની યાદગીરીરૂપે આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રદ્ધાળુ ભક્તોએ આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રીરામના પવિત્ર નામનું રટણ કરીને તેમજ રામાયણનું શ્રવણ કરીને ભગવાનનું સ્મરણ કર્યું હતું. આ ઉત્સવ દરમિયાન હરે કૃષ્ણ મંદિર વડોદરામાં ભગવાન શ્રી રામજી અને શ્રી શ્રી નીતાઈ ગૌરંગાના મંડપને વિશેષ અલંકારથી શણગારવામાં આવ્યા હતા. ઉત્સવના વિશેષ ભાગરૂપે, અતિ સુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન કરવામાં આવ્યું. ત્યારબાદ, સૌ ભક્તોએ 'શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ' (૧૦૮ નામ) તથા અન્ય વૈદિક મંત્રઘોષ સાથે 'શ્રી રામ તારક યજ્ઞ' કર્યો હતો. હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરાના સહયોગી ઉપપ્રમુખ પ્રતાપરુદ્ર દાસ પ્રભુજી દ્વારા ભગવાન વિષે પ્રવચન આપવામાં આવ્યું હતું. અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી હતી, જે દરમિયાન સૌ ભક્તોએ 'શ્રી નામ રામાયણ'નું ગાન કર્યું હતું.
ઊંઝાની શ્રી બી.પી. બ્રહ્મભટ્ટ આર્ટ્સ અને એમ.એચ. ગુરુ કોમર્સ કોલેજમાં સાયબર સુરક્ષા અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. CAWACH CELL દ્વારા સોમવાર, 30 માર્ચ, 2026 ના રોજ સવારે 08:30 કલાકે કોલેજના સેમિનાર હોલમાં આ માહિતીસભર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના ડૉ. અમિત બલદેવભાઈ સુથાર નિષ્ણાત વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન વિશ્વમાં વધી રહેલા વિવિધ સાયબર ફ્રોડ અને સ્કેમ્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. સુથારે સાયબર હુમલાઓથી બચવા માટે જરૂરી સાવચેતીના ઉપાયો અને સુરક્ષા ટિપ્સ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ડિજિટલ સુરક્ષા જાળવવા માટેના વ્યવહારુ સૂચનો આપ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાકેશ રાવના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ ફેકલ્ટી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. તેમણે સાયબર સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી મેળવી, જે તેમના દૈનિક જીવનમાં ડિજિટલ વ્યવહારો માટે ઉપયોગી સાબિત થશે.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા ચરમતીર્થપતિ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક (મહાવીર જયંતી) નિમિત્તે ભાવનગરના આંગણે ભક્તિમય માહોલમાં ભવ્ય રથયાત્રા ગોળ બજાર સ્થિત આવેલ મોટા દેરાસર ખાતે થી પ્રસ્થાન થઈ એક કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી હતી, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર જગતશેખર વિજયજી મ.સા. તથા ભાવનગરમાં બિરાજમાન તમામ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં આ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો, ચૈત્ર સુદ-13ના મંગળવારે સવારે 8:30 કલાકે ભાવનગર મંડન આદેશ્વર ભગવાનના જીનાલય (મોટા દેરાસર) થી આ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું, આ શોભાયાત્રામાં ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો, રથયાત્રામાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંદેશ આપતી 76થી વધુ કૃતિઓ સામેલ કરવામાં આવી હતી, જેમાં ભાવનગરના જાણીતા બેન્ડ મંડળો, મહિલા મંડળો, પૂજા મંડળો અને પાઠશાળાના ભૂલકાઓ આકર્ષક વેશભૂષામાં જોડાયા હતા, સમગ્ર ભાવનગર શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, આ ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો જેવા કે ઘોઘાગેટ અને મોતીબાગ પરથી પસાર થઈ ભીડ ભંજન મહાદેવ થઈ કાળાનાળા ચોક થઈ દાદા સાહેબ દેરાસર ખાતે પૂર્ણ થઈ હતી,વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું,રથયાત્રાના સમાપન બાદ સવારે 11:00 કલાકે દાદાસાહેબ જિનાલય ખાતે એક વિશેષ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય ગુરુ ભગવંતોએ ભગવાન મહાવીરના અહિંસા અને જીવો અને જીવવા દોના સિદ્ધાંતો પર પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતા, ભાવનગર સંઘના સદસ્ય હેતલ નવનીતરાય શાહે જણાવ્યું હતું કે, પરમાત્મા મહાવીર સ્વામીના શાસનમાં આપણે સૌ આરાધના કરી રહ્યા છીએ. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી સંઘના ઉપક્રમે આ ભવ્ય વરઘોડાનું આયોજન થયું હતું, જેમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની વિશાળ ઉપસ્થિતિએ વાતાવરણને મંગલમય બનાવી દીધું હતું, ભાવનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના મંત્રી પીયૂષ વિનયચંદ્ર દોશીએ જણાવ્યું હતું કે, જૈન શાસનના ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનનો આજે જન્મ કલ્યાણક છે, જન્મ કલ્યાણક એટલે કે એમનો જન્મ જ્યારે થયો હતો એ દિવસ છે અને અહિંસાનો જેને વિશ્વમાં સંદેશ આપ્યો છે એમનો જન્મ દિવસ છે આજે એટલા માટે સકળ સંઘ આખું ભાવનગર અને આખા ભારતભરમાં અને વિશ્વભરમાં લોકો આજે ઉત્સાહભેર એમના જન્મ કલ્યાણકની ખાસ ઉજવણી કરે છે એના ભાગરૂપે આજે ભાવનગર શ્રી સંઘના ઉપક્રમે રથયાત્રા ભાવનગર મોટા દેરાસરથી લઈ અને દાદાસાહેબ જીનાલય સુધી ઉતારવામાં આવ્યો છે તેમાં સંઘના વિવિધ કાર્યકરો અને ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. શહેરના જાહેર માર્ગો પર ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા વિવાદાસ્પદ અને ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવવા મામલે સુરત પોલીસે લાલ આંખ કરી છે. આ મામલે શહેરના પૂણા અને કતારગામ પોલીસ મથકોમાં અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, 28 અને 29 માર્ચની રાત્રિ દરમિયાન સુરતના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરો પર પ્રિન્ટિંગ પ્રેસનું નામ કે સરનામું લખવામાં આવ્યું નહોતું, જે કાયદાકીય રીતે ગુનો બને છે. પક્ષની છબી ખરડવાના ઇરાદે કરાયેલા આ કૃત્ય બાદ ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. વિવાદાસ્પદ અને ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યાપૂણા પોલીસ મથકે નોંધાયેલી FIR મુજબ, સીતાનગર ચાર રસ્તા ઓવરબ્રિજના થાંભલાઓ અને પૂણાગામ મંડળી પાસે ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી વિશાલ ભીખાભાઈ ચાવડા અને અન્ય 2થી 3 અજાણ્યા શખ્સો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ-336(4), 54 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન બુક્સ એક્ટની કલમ 3 અને 12 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. પુણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં 3 સામે ફરિયાદકતારગામ વિસ્તારમાં પણ સમાન પ્રકારે બદનામ કરવાના ઈરાદે પોસ્ટરો લગાવાયા હતા. ડભોલી ચાર રસ્તા, લલિતા ચોકડી ગાર્ડન અને આંબાતલાવડી પાટીદાર સમાજની વાડીની દીવાલ જેવા વ્યસ્ત વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મુખ્ય આરોપીઓ દેવશીભાઈ પોપટભાઈ ઠેબરીયા અને ચિરાગ નાવડીયા અને અન્ય 2-3 અજાણ્યા શખ્સોની મિલીભગતથી આ પોસ્ટરો છાપીને લગાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પ્રેસની વિગતો છુપાવીને કાયદાનો ભંગ કરવા બદલ પોલીસે તપાસ તેજ કરીપોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પરસ્પર મિલીભગત કરી રાજકીય દ્વેષ રાખીને આ પત્રિકાઓ અને પોસ્ટરો છાપ્યા હતા. પ્રેસની વિગતો છુપાવીને કાયદાનો ભંગ કરવા બદલ પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને પકડી પાડવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પહેલા શરૂ થયેલા આ 'પોસ્ટર વોર'ને કારણે સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને આવનારા દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
'પાકિસ્તાન પોતે આતંકવાદથી ઘેરાયેલું...', ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી માટે ઈઝરાયલે ભારત પર મૂક્યો ભરોસો
West Asia Conflict: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના બીજા મહિને ઈઝરાયલના વિદેશ મંત્રાલયના વિશેષ દૂત ફ્લેર હસન-નહૂમે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ યુદ્ધને શરૂઆતથી જ 'મલ્ટી-ફ્રન્ટ' એટલે કે બહુઆયામી પ્રાદેશિક યુદ્ધ ગણાવ્યું છે. યરૂશલેમથી વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ગત 7 ઓક્ટોબરે દક્ષિણમાંથી હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. આ ઘટનાના બીજા જ દિવસે ઉત્તર દિશામાંથી પણ હુમલા શરૂ થઈ ગયા હતા, જેનાથી સ્પષ્ટ થયું કે ઈઝરાયલે એકસાથે અનેક મોરચે લડવું પડી રહ્યું છે. જોકે, તેમણે દાવો કર્યો છે કે ઈઝરાયલે સૈન્ય રીતે આ જંગમાં મોટી બઢત મેળવી લીધી છે.
દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન સુગર ઉદ્યોગ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. આજે વિવિધ સુગર મિલો દ્વારા શેરડીના ટન દીઠ અંતિમ ભાવ જાહેર કરવામાં આવનાર છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાંડ, બગાસ અને મોલાસીસના બજાર ભાવ ઊંચા રહ્યા હોવાથી ખેડૂતોને ગત વર્ષ કરતા સારા ભાવ મળે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ખેડૂતોમાં પણ આ જાહેરાતને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાંડની રિકવરી સારી છતાં વધતા ખર્ચથી ખેડૂતો ચિંતિતચાલુ પિલાણ સિઝન દરમિયાન શેરડીમાં ખાંડની રિકવરીનું પ્રમાણ ઘણું સારું જોવા મળ્યું છે. જોકે, બીજી તરફ ખાતરના ભાવમાં થયેલો વધારો અને ખેતમજૂરીના દરોમાં ઉછાળો આવતા ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં પણ મોટો વધારો થયો છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે શેરડીના ટન દીઠ સરેરાશ 3500 રૂપિયાથી વધુ ભાવ આપવામાં આવે, જેથી તેમને ખેતીમાં થયેલું રોકાણ વળતરદાયી બની રહે. ખેડૂતોને આકર્ષક અને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવા સંજોગોઆગામી બેથી ત્રણ મહિનામાં દક્ષિણ ગુજરાતની લગભગ તમામ સુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીઓ યોજાનાર છે. સહકારી ક્ષેત્રમાં સત્તા ટકાવી રાખવા માટે અને ખેડૂતોને પોતાની તરફ આકર્ષવા માટે મિલોના ચેરમેન અને શાસક પક્ષો દ્વારા ખેડૂતોને આકર્ષક અને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ગત વર્ષે પણ ખેડૂતોને ટન દીઠ રૂ. 30થી 130 સુધીનો વધારો મળ્યો હતો, જે આ વખતે વધુ રહેવાની ધારણા છે. કેવડિયાની બેઠકમાં સ્ટોક વેલ્યુ 3700 નક્કી કરાઈતાજેતરમાં કેવડિયા ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ 3700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શેરડીના પ્રતિ ટન ભાવ હંમેશા ખાંડની સ્ટોક વેલ્યુની આસપાસ જ નક્કી થતા હોય છે. આ નિર્ણયને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે આ વર્ષે શેરડીના ભાવમાં મજબૂતી જોવા મળશે. 3650થી 3900 સુધી ભાવ રહેવાની શક્યતાબજારના સૂત્રો અને વર્તમાન સ્થિતિ મુજબ, આ વર્ષે શેરડીના ભાવ 3650થી 3900 રૂપિયા પ્રતિ ટનની વચ્ચે રહેવાની શક્યતા છે. ગત વર્ષે ખાંડના વેચાણ અને આડપેદાશો જેવી કે મોલાસીસની સારી આવકને કારણે સુગર મિલોની આર્થિક સ્થિતિ પણ સુધરી છે. આજ સાંજ સુધીમાં સુરત જિલ્લાની વિવિધ સુગર મિલો સત્તાવાર રીતે ભાવની જાહેરાત કરશે, જેના પર લાખો ખેડૂતોની નજર ટકેલી છે.
ટ્રમ્પે કરેલી ભૂલની સજા હવે આખું વિશ્વ ભોગવશે? ઈરાનની સંસદમાં હોર્મુઝ અંગે નવો કાયદો પસાર
AI IMAGE Iran Israel sea war : વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે.
અમદાવાદમાં યોજાયેલા રાજ્ય કક્ષાના એવોર્ડ સમારોહમાં રેડ ક્રોસ – ગીર સોમનાથને રનર્સ અપ એવોર્ડથી સન્માનિત કરાયું. સંસ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આરોગ્ય સેવાના પાંચ મુખ્ય પ્રકલ્પોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પુરસ્કાર એનાયત થયો. આ સમારોહ 30 માર્ચના રોજ રેડ ક્રોસ ભવન, અમદાવાદ ખાતે યોજાયો હતો. ગુજરાત રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો. રેડ ક્રોસ – ગીર સોમનાથની ટીમને બ્લડ બેન્ક, ફિઝિયોથેરાપી, ડેન્ટલ, પેથોલોજી અને પ્રધાનમંત્રી જનઔષધિ જેવા પાંચ મુખ્ય પ્રકલ્પોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આ ઉપ-વિજેતા (રનર્સ અપ) એવોર્ડ અપાયો. આ એવોર્ડ સ્વીકારવા માટે રેડ ક્રોસ – ગીર સોમનાથ વતી ચેરમેન એમિરેટસ શ્રી કિરીટભાઈ ઉનડકટ, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, તેમજ કમિટીના સભ્યો સંજય દાવડા, ભાવેશ મહેતા અને પરેશ તન્ના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વેરાવળથી રેડ ક્રોસ ચેરમેન અતુલભાઈ કાનાબાર, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, ટ્રેઝરર સમીર ચંદ્રાણી,પૂર્વ સેક્રેટરી સેવારામ મુલચંદાણી સહિત કમિટીના સભ્યોએ અભિનંદન પાઠવ્યા. તેમણે સર્વે સ્ટાફની કામગીરીની નોંધ લઈ આભાર વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2023-24માં પણ રેડ ક્રોસ – ગીર સોમનાથને બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના લોકાર્પણ સમયે પાંચ પ્રકલ્પો શરૂ કરવા બદલ રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ જિલ્લા શાખાનો રનર્સ અપ એવોર્ડ મળ્યો હતો.
દિલ્હીથી શિરડી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર 150થી વધુ મુસાફરો માટે ગઈકાલની રાત ભારે ફાળકાભરી રહી હતી. શિરડી એરપોર્ટ પર ખરાબ હવામાન અને જોરદાર પવનને કારણે લેન્ડિંગ અશક્ય બનતા પાયલટે સુરત એરપોર્ટ પર વિમાનનું ડાયવર્ઝન કરાવ્યું હતું. સુરત એરપોર્ટ પર સલામત લેન્ડિંગ થતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. શિરડીના આકાશમાં 1 કલાક ચકરાવા માર્યાઈન્ડિગોની આ ફ્લાઈટ દિલ્હીથી નિર્ધારિત સમયે ઉપડી હતી. જ્યારે વિમાન શિરડી એરપોર્ટની નજીક પહોંચ્યું, ત્યારે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને વિઝિબિલિટી અત્યંત ઓછી હતી. પાયલટે વાતાવરણ સુધરવાની રાહમાં સતત 60 મિનિટ સુધી શિરડીના આકાશમાં વિમાનના આંટા મરાવ્યા હતા. વારંવારના ચકરાવાને કારણે અંદર બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અંતે જોખમ ન લેતા પાયલટે સુરત એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરી લેન્ડિંગની મંજૂરી માગી હતી. 150થી વધુ મુસાફરોમાં ચિંતા અને ગૂંચવણફ્લાઈટમાં 150થી વધુ પેસેન્જરો સવાર હતા, જેમાં વયોવૃદ્ધો અને બાળકો પણ સામેલ હતા. અચાનક વિમાન સુરત તરફ વળતા મુસાફરોમાં મૂંઝવણ જોવા મળી હતી. જોકે, સુરત એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઈન્સના અધિકારીઓએ મુસાફરોને શાંત પાડ્યા હતા અને તેમને જરૂરી વિગતો પૂરી પાડી હતી. સુરત એરપોર્ટ પર વિમાનનું ટચ-ડાઉન થતા જ મુસાફરોએ તાળીઓના ગડગડાટ સાથે પાયલટનો આભાર માન્યો હતો. સુરતમાં તાબડતોબ વ્યવસ્થા કરાઈસુરત એરપોર્ટ પર ડાયવર્ઝન લેન્ડિંગની જાણ થતા જ સુરક્ષા અને મેડિકલ ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા હતી. હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા. એરલાઈન્સ દ્વારા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક આયોજન પણ વિચારવામાં આવ્યું હતું. 3 કલાકના વિલંબ બાદ અંતે શિરડી પહોંચ્યાહવામાન વિભાગ તરફથી શિરડીમાં સ્થિતિ સામાન્ય હોવાના અહેવાલ મળતા જ, મોડી રાત્રે ફ્લાઈટને સુરતથી ફરી રવાના કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે મુસાફરો તેમના નિર્ધારિત સમય કરતા 3 કલાક મોડા શિરડી પહોંચ્યા હતા. શિરડી એરપોર્ટ પર લેન્ડિંગ થતા જ મુસાફરોએ 'સાંઈ રામ' ના નાદ સાથે હાશકારો અનુભવ્યો હતો.
જો તમારા મોબાઇલ નંબર પર કોઈ APK ફાઇલ મોકલે છે તો તે ડાઉનલોડ કરતા પહેલા ધ્યાન રાખજો, કારણ કે એ APK ફાઇલ ડાઉનલોડ થવાથી મોબાઇલ હેક થઈને તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. શહેરના એક આધેડના મોબાઇલ પર શેઠના નંબર પરથી APK ફાઇલ આવી હતી, જે ડાઉનલોડ કરતા આધેડના ખાતામાં 9.81 લાખની લોન કરીને ગઠિયાઓએ 10.70 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર ક્રાઈમે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. શેનના નંબરથી APK ફાઈલ આવતા ક્લિક કર્યુંનિકોલમાં રહેતા 50 વર્ષીય આધેડ વટવા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આધેડ 19 ફેબ્રુઆરીએ નોકરી પર હાજર હતા, ત્યારે તેમના શેઠના મોબાઈલ નંબર પરથી વોટ્સએપમાં RTO ઈ-ચલણ નામની એક APK ફાઈલ આવી હતી. જેમાં આરટીઓનો મેમો તપાસવા તેમને શેઠે જણાવ્યું હતું, જેથી આધેડે ફાઈલ તરત ડાઉનલોડ કરી હતી. જેમાં મોબાઈલ નંબર, નામ, માતાનું નામ સહિતની વિગતો ભરવાનું જણાવતા સ્ક્રીનશોટ લઈને તરત બહાર નીકળી ગયા હતા. જે બાદ APK ફાઈલ ડિલિટ કરી દીધી હતી. 20 ફેબ્રુઆરીના સાંજના સમયે આધેડ નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના ફોનમાં અચાનક બેંકના મેસેજ આવવા લાગ્યા હતા. ઠગે ત્રણ ટૂકડામાં પૈસા ટ્રાન્સફર કર્યાખાતામાંથી પૈસા ડેબિટ થયાનો મેસેજ આવતા આધેડ બીજા દિવસે બેંકમાં ગયા અને સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. આ સમયે તેમને જાણ થઈ કે કોઈ અજાણી વ્યક્તિએ તેમના મોબાઇલનું એક્સેસ મેળવીને બેંકની એપ્લિકેશનમાંથી 5.31 લાખ રૂપિયાની ઇન્સ્ટોલ જમ્બો લોન 4.50 લાખ રૂપિયાની ઈન્સ્ટન્ટ લોન કરી દીધી હતી. જે બાદ તેમના ખાતામાંથી ટુકડે-ટુકડે 5 લાખ, 2.60 લાખ 2.50 અને 60 હજાર એમ કુલ 10.70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આધેડને તેમના સાથે થયેલા સાઈબર ક્રાઇમની જાણ થતા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના કલેક્ટર કેતન ઠક્કર એક વર્ષ અને બે મહિનાના કાર્યકાળ બાદ વયનિવૃત્ત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ઠક્કરે શિક્ષણ, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન, તેમજ શહેરી અને ગ્રામ્ય વિકાસ જેવા પાયાના ક્ષેત્રોમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી. તેમના પ્રયાસોથી વહીવટીતંત્ર વધુ પારદર્શક, જવાબદાર અને જનતાભિમુખ બન્યું હતું. તેમની ઝડપી નિર્ણયશક્તિ અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ તેમને કાર્યદક્ષ પ્રશાસક તરીકેની ઓળખ આપી હતી. વિદાય સમારંભમાં સહકર્મીઓ અને મહાનુભાવોએ તેમના કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે જામનગર સાથેનો તેમનો સંબંધ માત્ર સરકારી ફરજ પૂરતો સીમિત ન રહેતા ઊંડી લાગણી અને નૈતિક જવાબદારી સાથે જોડાયો હતો. તેમણે ફરજ દરમિયાન તમામ નાગરિકો અને સહકર્મીઓ તરફથી મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વિદાય પ્રસંગના અંતે, કેતન ઠક્કરે કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન ગાયું હતું. ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના ઉજ્જવળ, સ્વસ્થ અને સુખમય નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
ભરૂચમાં રીક્ષામાંથી ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યૂ:વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટીમે સાપને સુરક્ષિત પકડ્યો
ભરૂચ શહેરના સ્ટેશન નજીક આવેલા કસક ગરનાળા પાસે એક રીક્ષામાંથી ઝેરી કોબ્રા સાપ મળી આવ્યો હતો. રીક્ષા ચાલકે અચાનક સાપ જોતા તે ગભરાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ જીવદયા પ્રેમી સંસ્થા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુના કાર્યકર યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ યોગેશ મિસ્ત્રી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે રીક્ષામાં અત્યંત ઝેરી કોબ્રા સાપ હતો. યોગેશ મિસ્ત્રીએ કુશળતાપૂર્વક આ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને રીક્ષામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા સાપને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે. આ ઘટનાને કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો.
મોરબીમાં મહાવીર જયંતિ નિમિત્તે સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરબાર પાસે આવેલા દેરાસર ખાતેથી શરૂ થઈ હતી. ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને બિરાજમાન કરીને શોભાયાત્રા મોરબીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2624મા જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં 14 સ્વપ્ન રત્ન, જૈન બેન્ડ ગ્રુપ, પ્રભુ મહાવીર સ્વામીની મોટી છબી અને બગીઓ-ફ્લોટ પણ શામેલ હતા. દરેક જૈન સંઘ, મંડળો, સ્વયંસેવકો તથા વિશાળ સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા દરબારગઢ દેરાસરજીથી ગ્રીન ચોક, નેહરુગેટ, સાવસર પ્લોટ, વસંત પ્લોટ થઈને બોયઝ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. બોયઝ હાઈસ્કૂલ ખાતે શોભાયાત્રા ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. શોભાયાત્રાના રૂટમાં જૈન સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સરબત, છાશ, ઠંડા પાણી અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામીએ મારા મનના મહાવીર, મારા મન માં મહાવીર વિષય પર મંગલ પ્રવચન આપ્યું હતું, જેનો મોરબીના તમામ જૈન ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો.
ડાયમંડ સિટીમાં જાહેર પરિવહન સેવા સમાન સીટી બસ હવે અવારનવાર વિવાદોનું કેન્દ્ર બની રહી છે. તાજેતરમાં શહેરના ડીંડોલી વિસ્તારમાં દોડતી સીટી લિંકની બસમાં બેસવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે બસમાં સવાર અન્ય મુસાફરોમાં ફાળ પડી ગઈ હતી, જ્યારે કોઈકે આ સમગ્ર ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધી છે. ખીચોખીચ ભરેલી બસમાં બેસવા માટે મહિલાઓ ઝઘડીઘટનાની વિગતો મુજબ, સુરત સીટીલિંકની બસ નંબર 104 ડીંડોલી રૂટ પર જઈ રહી હતી. બસમાં ભારે ભીડ હોવાને કારણે સીટ મેળવવા માટે મુસાફરો વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. આ દરમિયાન બે મહિલા મુસાફરો વચ્ચે સીટ પર બેસવા બાબતે તકરાર શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી જેવો જણાતો આ કિસ્સો જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. બંને મહિલાઓ એકબીજા પર તૂટી પડી હતી અને બસના કંડક્ટર કે ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ રણચંડીકા બની ગયેલી મહિલાઓએ જાહેરમાં તમાશો કર્યો હતો. ગુસ્સામાં લાલચોળ મહિલાઓ કોઈનું માનવા તૈયાર નહોતીબસમાં ડ્રાઈવરની સીટની બરાબર બાજુમાં જ આ બબાલ શરૂ થઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે મહિલાઓ એકબીજાના વાળ પકડીને ખેંચી રહી છે અને છૂટાહાથની મારામારી કરી રહી છે. આ દૃશ્યો જોઈ અન્ય મુસાફરો અચંબિત થઈ ગયા હતા. ભણેલા-ગણેલા ગણાતા સુરત શહેરમાં જાહેર પરિવહનમાં આ પ્રકારે મહિલાઓ વચ્ચે થતી મારામારીએ સુરતીઓની સભ્યતા સામે પણ સવાલો ઉભા કર્યા છે. બસમાં હાજર અન્ય મહિલાઓએ બંનેને છોડાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુસ્સામાં લાલચોળ થયેલી આ મહિલાઓ કોઈનું માનવા તૈયાર નહોતી. ‘ઝઘડો કરવો હોય તો પાછળ જાવ’: મુસાફરોનો રોષજ્યારે આ મારામારી હદ બહાર ગઈ ત્યારે બસમાં સવાર અન્ય પુરુષ મુસાફરો પણ તેમને રોકવા આગળ આવ્યા હતા. મહિલાઓ સતત એકબીજાને લાતો અને મુક્કા મારી રહી હતી, જેના કારણે ડ્રાઈવરને બસ ચલાવવામાં પણ તકલીફ પડી રહી હતી. આ અફરાતફરી વચ્ચે એક જાગૃત મુસાફરે રોષે ભરાઈને કહી દીધું કે, જો તમારે આવું જ (ઝઘડો) કરવાનું હોય તો બસની છેલ્લી સીટ પર પાછળ જાવ, અહીં ડ્રાઈવર પાસે ગિરદી ના કરો. મુસાફરોમાં એવી પણ ચર્ચા હતી કે આવી ઘટનાઓને કારણે અન્ય લોકોનો સમય બગડે છે અને અકસ્માતનો ભય પણ રહે છે. પોલીસકર્મીની એન્ટ્રી થતા જ મામલો થાળે પડ્યોઆ હંગામો ચાલી રહ્યો હતો ત્યારે જ બસમાં એક પોલીસકર્મીની એન્ટ્રી થઈ હતી. વર્દીધારી પોલીસને જોઈને ઉગ્ર બનેલી મહિલાઓ એકાએક શાંત પડી ગઈ હતી. પોલીસકર્મીએ કડક શબ્દોમાં ઠપકો આપતા બંને પક્ષે ઝઘડો કરવાનું બંધ કર્યું હતું. પોલીસની હાજરીને કારણે મામલો આગળ વધતા અટક્યો હતો અને પોલીસની દરમિયાનગીરી બાદ જ સ્થિતિ થાળે પડી હતી. જોકે, આ ઘટના બાદ ડરના માર્યા ઘણા મુસાફરો આગલા સ્ટોપેજ પર જ ઉતરી ગયા હતા.
ચૈત્રી પૂનમના પાવન પર્વે મા બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈભક્તો માટે કાળમુખો અકસ્માત સર્જાયો છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક 30 માર્ચની મોડીરાત્રે એક બેકાબૂ ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરૂણ દુર્ઘટનામાં બે માઈભક્તના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય સાત શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સાતમાંથી બેના ઘટનાસ્થળે જ મોતઆ અંગેની મળતી માહિતી મુજબ, સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો પગપાળા સંઘ બહુચરાજીના મેળામાં સહભાગી થવા જઈ રહ્યો હતો. ભક્તિમય માહોલમાં માના દર્શનની આશા સાથે આગળ વધી રહેલા આ સંઘને નવા દેલવાડા પાસે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં આશરે 9 જેટલા પદયાત્રીઓ ભોગ બન્યા છે, જેમાં ઠાકોર દલપતજી પારખાનજી અને લાલાજી નાગજીજી નામના બે યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. અકસ્માત બાદ ટ્રકચાલક ફરારગંભીર રીતે ઘાયલ થયેલા ઠાકોર હેતલબેન, ઠાકોર જુહાજી, વિક્રમ અમૃતજી ઠાકોર, મેહુલ જુહાજી ઠાકોર સહિતના સાત 7 પદયાત્રીને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોડીરાત્રે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ બંન્ને યુવકના મૃતહદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો સોંપવામાં આવતા તેઓ અંતિમવિધિ માટે પોતાના વતન જવા રવાના થયા છે.
લોકસભામાં નક્સલવાદ મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે આદિવાસીઓના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે, પરંતુ નક્સલવાદ પાછળના સામાજિક અન્યાય અને પ્રશાસનિક નિષ્ફળતાને અવગણી શકાય નહીં. ‘નક્સલવાદ એ ખાલીપામાં છે જ્યાં ન્યાય નથી પહોંચ્યો’ સાંસદ પટેલે ભારપૂર્વક કહ્યું કે, જ્યાં ન્યાય ન મળે ત્યાં અસંતોષ જન્મે છે. તેમણે સવાલ કર્યો કે, જો દર વર્ષે નક્સલવાદ ખતમ કરવાના દાવા થતા હોય, તો આ સમસ્યા વારંવાર શા માટે ઊભી થાય છે. તેમણે આના મૂળ કારણોમાં આદિવાસી વિસ્તારોમાં જમીન અધિકારોની અસ્પષ્ટતા અને વિકાસના નામે થતા વિસ્થાપનને જવાબદાર ગણાવ્યા હતા. 'નાના ખેડૂતો-આદિવાસીઓની જમીનો છીનવાઈ' ઉમેશ પટેલે સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના સ્થાનિક પ્રશ્નો પણ સંસદમાં રજૂ કર્યા. તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS 1E)ના વર્તમાન સ્વરૂપનો વિરોધ કરતા જણાવ્યું કે તેનાથી નાના ખેડૂતો અને આદિવાસીઓની જમીનો છીનવાઈ રહી છે. આ સ્કીમમાં વળતરની કોઈ ગેરંટી નથી અને ખેડૂતો પર 'બેટરમેન્ટ ચાર્જ'નો બોજ નાખવામાં આવી રહ્યો છે. મધુબન ડેમના વિસ્થાપિતોને વળતર, જમીન અધિકારની માગ તેમણે 1972-73ના મધુબન ડેમ પ્રોજેક્ટના વિસ્થાપિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જે લોકોએ આ પ્રોજેક્ટમાં જમીનો ગુમાવી હતી, તેમને આજે પણ પૂરું વળતર કે પુનઃવસન મળ્યું નથી. સાંસદે પ્રદેશમાં આદિવાસીઓના હિત માટે PESA એક્ટ (Panchayats Extension to Scheduled Areas) તાત્કાલિક લાગુ કરવાની માગ કરી હતી. ઉમેશ પટેલે સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી: TPS 1E સ્કીમની સ્વતંત્ર તપાસ અને બજાર ભાવે વળતર, નાના જમીન માલિકો પરથી બેટરમેન્ટ ચાર્જ હટાવવો, મધુબન ડેમ અને હાઈવે પ્રોજેક્ટના અસરગ્રસ્તોનું સંપૂર્ણ પુનઃવસન, અને આદિવાસી સમાજને તેમના કુદરતી સંસાધનો પર કાયદેસરનો હક મળે. તેમણે પોતાના વક્તવ્યના અંતે કહ્યું કે, નક્સલવાદ એ ખાલીપામાં છે જ્યાં ન્યાય નથી પહોંચ્યો. માત્ર ઓપરેશનથી ઉકેલ નહીં આવે, લોકોનો વિશ્વાસ જીતવો પડશે. સ્પિકરના સતત રોકવા છતાં સાસંદે પોતાની વાત રજૂ કરી હતી.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી આજે અસારવા માટે 09439 મેમુ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. દેશના વડાપ્રધાન આ ટ્રેનને પ્રસ્થાન કરાવશે. આ નવી મેમુ સેવા 1 એપ્રિલથી નિયમિત રીતે શરૂ થશે, જેમાં 69251 અસારવા-ખેડબ્રહ્મા અને 69252 ખેડબ્રહ્મા-અસારવા મેમુ ટ્રેનોનો સમાવેશ થાય છે. આજે સાંજે 4 વાગ્યે 09439 મેમુ ખેડબ્રહ્માથી ઉપડશે. તે ઇડર સાંજે 4:25 વાગ્યે પહોંચશે અને 15 મિનિટના રોકાણ બાદ 4:40 વાગ્યે આગળ વધશે. હિંમતનગર સાંજે 5:19 વાગ્યે પહોંચીને બે મિનિટના રોકાણ બાદ 5:21 વાગ્યે ઉપડશે. 1 એપ્રિલથી, 69251 અસારવા-ખેડબ્રહ્મા મેમુ અસારવાથી સાંજે 6:25 વાગ્યે ઉપડશે. તે હિંમતનગર સાંજે 7:44 વાગ્યે પહોંચશે અને બે મિનિટના રોકાણ બાદ 7:46 વાગ્યે ઉપડશે. ઇડર રાત્રે 8:15 વાગ્યે પહોંચીને એક મિનિટના રોકાણ બાદ 8:16 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:10 વાગ્યે ખેડબ્રહ્મા પહોંચશે. 2 એપ્રિલથી, 69252 ખેડબ્રહ્મા-અસારવા મેમુ ખેડબ્રહ્માથી સવારે 6:45 વાગ્યે ઉપડશે. તે ઇડર સવારે 7:04 વાગ્યે પહોંચશે અને એક મિનિટના રોકાણ બાદ 7:05 વાગ્યે ઉપડશે. હિંમતનગર સવારે 7:35 વાગ્યે પહોંચીને બે મિનિટના રોકાણ બાદ 7:37 વાગ્યે ઉપડશે અને સવારે 9:30 વાગ્યે અસારવા પહોંચશે. આ મેમુ ટ્રેન ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર, સોનાસણ, પ્રાંતિજ, તલોદ, રખિયાલ, દહેગામ, ડભોડા, નરોડા, સરદારગ્રામ અને અસારવા સ્ટેશનો પરથી પસાર થશે. મુસાફરો માટે અન્ય અગત્યની સૂચના મુજબ, અસારવા-કોટા અને ચિત્તોડગઢ-અસારવા ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 19821 અસારવા-કોટા એક્સપ્રેસના સમયમાં 20 મિનિટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર 4 એપ્રિલ, 2026 (શનિવાર) થી અમલમાં આવશે. હવે આ ટ્રેન અસારવા જંક્શનથી સવારે 08:55 વાગ્યે ઉપડશે (જૂનો સમય સવારે 09:15 હતો). સરદારગ્રામ સવારે 09:01/09:03 અને નંદોલ દહેગામ સવારે 09:28/09:30 વાગ્યે પહોંચશે. હિંમતનગર અને તે પછીના સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નથી. ટ્રેન નંબર 69244 ચિત્તોડગઢ-અસારવા મેમુના અસારવા જંક્શન પર પહોંચવાના સમયમાં પણ ફેરફાર થયો છે. આ ફેરફાર 1 એપ્રિલ, 2026 (બુધવાર) થી અમલમાં આવશે. આ ટ્રેન અસારવા જંક્શન પર નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ મોડી એટલે કે સાંજે 18:55 (06:55 વાગ્યે) પહોંચશે (જૂનો સમય 18:45 હતો). ચિત્તોડગઢથી સહીજપુર વચ્ચેના અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નથી.
અમદાવાદના નારોલ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યે એક 17 વર્ષીય કિશોરી શંકાસ્પદ હાલતમાં પેટ્રોલ પંપ પર બેઠેલી જોવા મળી હતી. સતર્ક સ્ટાફે તાત્કાલિક 181 અભયમ ટીમને જાણ કરી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે આ કિશોરી પોતાના સપના પૂરા કરવા સુરતથી ભાગીને અમદાવાદ આવી પહોંચી હતી. તેણીને જીવનમાં આગળ વધવાની અને સ્વતંત્ર રીતે જીવવાની તીવ્ર ઈચ્છા હતી. મોટિવેશનલ વીડિયો બન્યા કારણકિશોરીએ જણાવ્યું કે તે મોબાઈલમાં મોટિવેશનલ વીડિયો જોતી હતી. અન્ય યુવતીઓને નોકરી કરતી અને વાહન ચલાવતી જોઈ તેને પણ આવી જ જિંદગી જીવવાની પ્રેરણા મળી હતી. જોકે, તેનો પરિવાર રૂઢીચુસ્ત હોવાથી પિતા તેને ઘરની બહાર નીકળવા કે નોકરી કરવા દેતા નહોતા. આ બંધનથી કંટાળીને તે અગાઉ પણ અનેકવાર ઘર છોડી ભાગી ચુકી હતી. આ વખતે પણ તે અમદાવાદ આવી ગઈ, પણ પૂરતા પૈસા અને શહેરની જાણકારી ન હોવાથી અટવાઈ ગઈ હતી. અભયમ ટીમનું સફળ કાઉન્સેલિંગશરૂઆતમાં કિશોરીના પિતા તેને સ્વીકારવા તૈયાર નહોતા અને તેને નારી કેન્દ્રમાં રાખવા આગ્રહ કરતા હતા. જોકે, અભયમ ટીમે લગભગ 1 કલાક સુધી પિતાનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કર્યું અને દીકરીની સુરક્ષા અને ભવિષ્ય અંગે સમજાવ્યા. અંતે, OSC સેન્ટર ખાતે વધુ પ્રક્રિયા પૂર્ણ કરી કિશોરીને તેના પિતાને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. 181 ટીમની સમયસૂચકતાથી એક પરિવાર તૂટતા બચ્યો છે.
વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન દ્વારા માનવીય અભિગમ સાથે એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ પોલીસે નાગરિકોના ગુમ થયેલા લાખોની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત સોંપ્યા છે. હરણી વિસ્તારમાંથી અલગ-અલગ સમયે ગુમ થયેલા કુલ 12 મોબાઈલ ફોન ટેકનિકલ સર્વેલન્સની મદદથી રિકવર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પરત કરવામાં આવેલા આ ફોનની અંદાજિત બજાર કિંમત ₹2,60,000 જેટલી થાય છે. ટેકનિકલ તપાસ દ્વારા મળી સફળતાઆ સમગ્ર કામગીરી હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેશસિંહ મગનસિંહે CEIR એપ્લિકેશન અને IMEI નંબરના CDR ના આધારે ઝીણવટભરી તપાસ કરી આ સફળતા મેળવી હતી. આ સફળ કામગીરી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાની સૂચના હેઠળ પાર પાડવામાં આવી હતી. માલિકોના ચહેરા પર છવાઈ ખુશીહરણી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં પી.આઈ. એસ.વી. વસાવાએ માલિકોની ખરાઈ કર્યા બાદ તેમને હર્ષભેર મોબાઈલ સોંપ્યા હતા. આજના સમયમાં મોબાઈલ માત્ર એક સાધન નથી, પણ તેમાં ઘણો કિંમતી ડેટા હોય છે. પોતાનો કિંમતી ફોન અને ડેટા સુરક્ષિત રીતે પરત મળતા નાગરિકો ગદગદિત થઈ ગયા હતા અને વડોદરા પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલી ત્રિવેણી વિદ્યાલય દ્વારા 'સંસ્કૃતિ સંગમ-2026' શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવ યોજાયો. આ કાર્યક્રમ સોમવારે મોડી સાંજે હિંમતનગર-ઇડર રોડ પર રાજપુર પાસે આવેલા સપ્તશ્રુંગી પાર્ટી પ્લોટ ખાતે શરૂ થયો હતો. બાલવાટિકાથી ધોરણ 9 અને 11 સુધીના કુલ 470 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ 26 રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ, ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિ જેવા વિષયો પર આધારિત વિવિધ રજૂઆતો કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિદ્યાલયના શંભુભાઈ ભટ્ટે માહિતી આપતાં જણાવ્યું કે, વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ ઇતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ધોરણ 1 થી 12 સુધીના શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પણ દાતાઓ અને સહયોગીઓના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા આ વાર્ષિકોત્સવે શિક્ષણ સાથે સંસ્કૃતિનો સુંદર સંગમ સર્જ્યો હતો અને વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવાનું ઉત્તમ માધ્યમ બન્યો.
દ્વારકાધીશ મંદિરમાં છપ્પન ભોગ અર્પણ કરાયા:મંગલા આરતી સમયે ભક્તોએ દર્શનનો લાભ લીધો
દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરમાં મંગલા આરતી દર્શન સમયે છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના ગર્ભગૃહ સમક્ષ વિવિધ પ્રકારની પ્રસાદ થાળીઓ ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત, ગર્ભગૃહને રંગબેરંગી પુષ્પોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. છપ્પન ભોગની પરંપરા વૈષ્ણવ ભક્તિ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. મંગલા આરતીના સમયે ભગવાનના ચરણોમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ભોગ ધરાવવામાં આવ્યા હતા. દર્શન દરમિયાન ભક્તોએ 'જય દ્વારકાધીશ'ના નાદ સાથે પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. આ છપ્પન ભોગ દર્શન ધાર્મિક પરંપરા અને શ્રીકૃષ્ણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. દ્વારકાધામમાં યોજાયેલો આ પ્રસંગ ભક્તો માટે એક મહત્વપૂર્ણ અને યાદગાર ધાર્મિક અનુભવ બની રહ્યો હતો.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં FRCની પ્રથમ બેઠક યોજાઈ:સ્વનિર્ભર કોલેજોની ફીનું ધોરણ નક્કી કરવા ચર્ચા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠક યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર કોલેજોમાં ફીનું યોગ્ય માળખું નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરીયાએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર કોલેજોની ફીનું ધોરણ નક્કી કરવા માટે FRCની રચના કરવામાં આવી છે. પ્રથમ બેઠકમાં ફીના માળખામાં સુધારા-વધારા કરીને યોગ્ય માળખું નક્કી કરવા તેમજ આ અંગે કોલેજોના સૂચનો ધ્યાને લેવા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં FRCના સભ્યો તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જજ, બેંક ઓફ બરોડાના નિવૃત્ત જનરલ મેનેજર, જીટીયુના નિવૃત્ત કુલપતિ, પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમજ યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ અને પ્રોફેસરનો સમાવેશ થાય છે. કોલેજો દ્વારા કયા પ્રકારની અને કેટલી ફી લેવામાં આવે છે, તેમજ ફીના માળખામાં વધારો કરવાની રજૂઆતો અને માગણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરાયું હતું. કોલેજોની વર્તમાન ફી, તેઓ કેટલી ફી ઈચ્છે છે તેના સૂચનો, વિગતો અને છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હિસાબો પણ મંગાવવામાં આવ્યા છે. કમિટી કોલેજોના ટ્રસ્ટી મંડળોની રજૂઆતોને ધ્યાનમાં લઈને યોગ્ય વિચારણા કરશે અને નિર્ણય આપશે. યોગ્ય ફી માળખું નક્કી થવાથી સારી કોલેજોનું અસ્તિત્વ જળવાઈ રહે અને અન્ય કોલેજો અંગેની માહિતી પણ મળી શકે. યુનિવર્સિટી દ્વારા અન્ય કોલેજોના ફી સ્ટ્રક્ચર સ્ટેટમેન્ટ મેળવીને તેના પર પણ ચર્ચા થઈ હતી. આગામી શૈક્ષણિક વર્ષ પહેલા આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે.
સુરત જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટેના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ વિવિધ જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આયોજન મંડળ દ્વારા નિર્ધારિત 2250 લાખની જોગવાઈ સામે કુલ 2283 લાખના ખર્ચે 742 જેટલા જનહિતલક્ષી વિકાસ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. તાલુકા અને નગરપાલિકા સ્તરે આયોજન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં 15 ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ સામાન્ય, ટી.એ.એસ.પી. અને એસ.સી.એસ.પી. સદર હેઠળના કામોનું વિસ્તૃત આયોજન કરાયું હતું. જેમાં સુરત જિલ્લાના 11 તાલુકાઓમાં 20.50 કરોડના ખર્ચે 724 કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાની 4 નગરપાલિકાઓમાં 233 લાખના ખર્ચે 18 વિકાસકામોને બહાલી આપવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની ખાસ યોજના હેઠળ પણ 10 લાખના 2 વિકાસકામો મંજૂર કરાયા છે. આંગણવાડી અને જળસંચય પર ભાર ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને બાળ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાએ 2 કરોડના ખર્ચે 13 નવી આંગણવાડીઓના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, આગામી ચોમાસા પૂર્વે જળસંચયના તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અત્યંત અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓને પ્રાધાન્ય આપી, વિકાસકામોનું સતત મોનિટરિંગ કરવામાં આવે જેથી છેવાડાના માનવી સુધી લાભ પહોંચી શકે. મહાનુભાવોની ઉપસ્થિતિ બેઠકની શરૂઆતમાં કલેક્ટર ડો. સૌરભ પારધીએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ તકે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સંદિપભાઈ દેસાઈ, કુંવરજીભાઈ હળપતિ સહિત નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લા આયોજન અધિકારી શિતલબેન માંડવિયા અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બાજુમાં રહેતા વૃદ્ધ પર જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી નામના શખસ સહિત ચાર જેટલા લોકોએ હુમલો કર્યાની ઘટના બની છે. આ લોકોએ વૃદ્ધના ઘર તેમજ ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર રહેલી લોખંડની તિજોરી, બોર્ડ અને શેડના પંખામાં અને બે વાહનમાં તોડફોડ કરી નુકસાન પણ કર્યું હતું. વૃદ્ધના દીકરા પાસે પેરોલ પરના આરોપીએ ખર્ચાના પૈસા માંગ્યા હતા, જેને લઈને વૃદ્ધને માર માર્યો હતો. બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધી કોર્પોરેટરની ઓફિસની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. વૃદ્ધના દીકરાની જેલમાં આરોપી સાથે મુલાકાત થઈ હતીમળતી માહિતી મુજબ, બાપુનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની પાસે નલીનભાઈ મિસ્ત્રી તેમના પરિવાર સાથે રહે છે. નલીનભાઈનો પુત્ર પાંચેક વર્ષ પહેલા આત્મહત્યાના દુષ્પ્રેરણના કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયો હતો, જ્યાં જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી નામના વ્યક્તિ સાથે તેની મુલાકાત થઈ હતી. જીગર જ્યારે પેરોલ ઉપર આવે ત્યારે વૃદ્ધના દીકરા દેવાંગને મળવા માટે આવતો હતો. વૃદ્ધના દીકરા પાસે આરોપીએ ખર્ચના પૈસા માગતા બબાલ28 માર્ચના રોજ જીગરે દેવાંગને ફોન કરી શુકન ચાર રસ્તા નિકોલ ખાતે મળવા બોલાવ્યો હતો, જેથી દેવાંગ અને તેનો મિત્ર પ્રતિપાલ ઝાલા જીગરને મળવા માટે શુકન ચાર રસ્તા પાસે ગયા હતાં. જીગરે દેવાંગ પાસે ખર્ચના પૈસા માંગ્યા હતા, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પ્રતિપાલ ઝાલા વચ્ચે પડ્યો હતો, જેથી જીગરે પ્રતિપાલ સાથે પણ બોલાચાલી કરી હતી. રાતના મિત્ર સાથે પહોંચી આરોપીએ વૃદ્ધ સાથે મારામારી કરીઆ બબાલમાં જીગરે દેવાંગને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો અને વધુ ઝઘડો ન થાય તેથી દેવાંગ ઘરે આવી ગયો હતો. બાદમાં 30 માર્ચે રાતના 12 વાગ્યાની આસપાસ જીગર અને તેનો ભાઈ સેવુલ પટેલ એક્ટિવા ઉપર આવ્યા હતા અને ઘરની બહાર સૂતેલા નલીનભાઈને કહ્યું હતું કે, તમારો દીકરો ક્યાં છે? મારે તેની પાસેથી ખર્ચના પૈસા લેવા છે, તેમ કહી જોરજોરથી બૂમો પાડી ગાળો બોલવા લાગ્યો હતો. તારો દીકરો દેવાંગ ક્યાં છે? મને મળશે એટલે હું તેને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. વૃદ્ધે શાંતિથી વાત કરવાનું કહેતા જીગરે તેની પાસે રહેલી લોખંડની પાઇપથી નલીનભાઈને થાપાના ભાગે ફટકો માર્યો હતો. ઘરની બહાર પાર્ક વાહનો અને કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ કરીનલીનભાઈએ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિક લોકો અને પરિવારજનો આવી ગયા હતાં. સાથે જીગરના બીજા બે મિત્ર પણ બાઈક લઈને આવ્યા હતા, આ તમામે ભેગા મળીને નલીનભાઈના ભત્રીજા અને તેના મોટાભાઈના ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં ડંડા મારીને તોડફોડ કરી હતી. નલીનભાઈના ઘરની બાજુમાં આવેલી ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર લોખંડની તિજોરીના કાચમાં પણ ડંડો મારીને તોડી નાખ્યો હતો. તેમનું બોર્ડ અને તેમના શેડ પર રહેલા પંખામાં પણ દંડા મારીને નુકસાન કર્યું હતું. પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા તમામ આરોપીઓ ભાગી ગયા હતાં. આ સમગ્ર બાબતની જાણ થતાં બાપુનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર ફરી સવાલો ઉઠ્યાંબાપુનગર વિસ્તારમાં ભાજપના જ કોર્પોરેટરની ઓફિસ બહાર તોડફોડ કરવામાં આવતા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર મદદગાર પરિવાર નામની સંસ્થા પણ ચલાવે છે અને તેમની ઓફિસ પણ ત્યાં આવેલી છે. જો ભાજપના જ કોર્પોરેટરની ઓફિસ બહાર આ રીતે તોડફોડ કરવામાં આવતી હોય તો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
વડોદરાની લાયન્સ ક્લબ દ્વારા સમાજસેવાના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કરનાર વિભૂતિઓને બિરદાવવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. 'દીપ પ્રેરણા એવોર્ડ' અંતર્ગત 'લાયન્સ રત્ન એવોર્ડ' અને 'અનસંગ હીરો એવોર્ડ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહ 31 માર્ચના રોજ સાંજે 6:30 વાગ્યે વડોદરાની હોટલ તારાસંસ ખાતે યોજાશે. અધ્યાત્મ અને સેવાનો સંગમઆ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જ્ઞાનવત્સલ સ્વામીજી અને નિત્યાનંદ પ્રભુજી ખાસ ઉપસ્થિત રહેશે. ક્લબ દ્વારા આ બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવશે. તેમની ઉપસ્થિતિ કાર્યક્રમની ગરિમામાં વધારો કરશે. સમાજના 9 રત્નોનું બહુમાનકાર્યક્રમમાં કુલ 9 મહાનુભાવોને 'લાયન્સ રત્ન એવોર્ડ'થી નવાજવામાં આવશે. જેમાં આદિવાસી વિસ્તારોમાં સેવા આપતા ત્રિભુવનદાસ કાબરા, પદ્મશ્રી ધાર્મિકલાલ પંડ્યા સહિત દીપક ફાઉન્ડેશન અને મહાવીર ફાઉન્ડેશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. અજાણ્યા હીરોઝની ઓળખસમાજમાં કોઈપણ પ્રસિદ્ધિની ભૂખ વગર પાયાના સ્તરે કાર્યરત 6 વ્યક્તિઓને 'અનસંગ હીરો એવોર્ડ' આપવામાં આવશે. આ યાદીમાં એવા NGO કાર્યકરો અને સરકારી કર્મચારીઓ સામેલ છે જેમના કાર્યોથી સામાન્ય જનતા હજુ અજાણ છે. આયોજન અને અપીલઆ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ચેરમેન હાર્દિકભાઈ શાહ અને પિયુષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ અવસરે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ પણ હાજર રહેશે. ક્લબના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજ માટે સમર્પિત આવા સાચા રત્નોના કાર્યો લોકો સુધી પહોંચે તે જ આ એવોર્ડનો મુખ્ય હેતુ છે.
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમની આંતરિક શક્તિઓને મંચ પૂરું પાડવાના ઉમદા હેતુથી 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યકાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ મનુભાઈ ચાવડા, આચાર્ય મગનભાઈ સોલંકી અને કેમ્પસ ડાયરેક્ટર શિવ મિશ્રા સહિતના આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્યની સાથે જ સમગ્ર કેમ્પસ ઉત્સાહ અને ઉમંગના માહોલમાં રંગાઈ ગયું હતું. પિન્કુના આગમનથી ઉત્સાહ બેવડાયોઆ મેળાનું મુખ્ય આકર્ષણ ટેલિવિઝન જગતની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાળ કલાકાર પિન્કુ રહ્યા હતા. તેમની પ્રેરક હાજરીએ વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના મનગમતા કલાકારને રૂબરૂ જોઈ ભારે હર્ષની લાગણી અનુભવી હતી. કૌશલ્યનું પ્રદર્શન અને સન્માનઆનંદ મેળામાં બાલભવનથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ વિવિધ ફૂડ અને બિઝનેસ સ્ટોલ્સ ઊભા કર્યા હતા. આ સ્ટોલ્સ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વ્યવસાયિક સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ નારી શક્તિના સન્માનરૂપે શાળાની તમામ શિક્ષિકા બહેનોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ મેળામાં અંદાજે 15,000 થી વધુ લોકોએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળા પરિવારની દિવસોની મહેનતના પરિણામે આ કાર્યક્રમ અભૂતપૂર્વ સફળ રહ્યો હતો.
લીંબડીમાં બાહુજીન સ્વામીનું અનોખું દેરાસર:વિશ્વનું એકમાત્ર, 140 વર્ષ જૂનું; 112 ભગવાનનો પરિવાર
મહાવીર જયંતિના પવિત્ર અવસરે, લીંબડી ખાતે આવેલું બાહુજીન સ્વામીનું દેરાસર વિશેષ મહત્વ ધરાવે છે. આખા વિશ્વમાં બાહુજીન સ્વામી મૂળનાયક તરીકે બિરાજમાન હોય તેવું આ એકમાત્ર દેરાસર છે. આ દેરાસર 140 વર્ષ જૂનું છે. આ પ્રાચીન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ પણ એટલી જ જૂની છે. હાલમાં, આ દેરાસરમાં કુલ 112 ભગવાનનો પરિવાર બિરાજમાન છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ દેરાસર સ્થાનકવાસી પરંપરાના લીંબડી અજરામાર સંપ્રદાયનું મુખ્ય મથક (હેડક્વાર્ટર) છે. આ સ્થળ 'અજરામાર ગાદી' તરીકે પણ પ્રખ્યાત છે, જ્યાં દરરોજ સેંકડો યાત્રિકો દર્શન કરવા આવે છે. અજરામાર સંપ્રદાયના ભક્તો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે, પરંતુ ખાસ કરીને કચ્છના વાગડ, કંઠી અને ઝાલાવાડ પ્રદેશના શ્રાવકોની સંખ્યા અહીં વધુ જોવા મળે છે. વર્તમાનમાં, આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી આ સંપ્રદાયના ગચ્છાધિપતિ છે. આ અંગે દર્શનચંદ્રજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે મહાવીર જયંતિ નથી, પણ મહાવીર જન્મ કલ્યાણક છે, એટલે કે પ્રભુનો જન્મ થાયને, એ તહેવાર તરીકે કે બર્થડે તરીકે કે જન્મ જયંતિ તરીકે નથી ઉજવાતો, એનો સાચો શબ્દ કલ્યાણક છે, કારણ કે એમના જન્મ હોય, ચવન હોય, દિક્ષા હોય, કેવલ જ્ઞાન હોય કે, નિર્વાણ હોય એ આખા સંસાર માટે કલ્યાણ સ્વરૂપ છે, સંસારના તમામ જીવો માટે કલ્યાણ સ્વરૂપ છે. એટલે એમનો જન્મ કલ્યાણક હોય, એટલે ચૈત્ર સુદ-13ના દિવસે ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકનો દિવસ અને પ્રભુનો જન્મ ભારતની આ ભૂમિ પર કે, જે મહાવીરની ભૂમિ છે, અને એમના શાસનમાં જન્મેલા આપણે બધા જ ગર્વ થાય કહેવાનું કે, અમે મહાવીરના વંશમાં, શ્રવણ પરંપરામાં અમે દિક્ષા લીધી છે, એ મહાવીર જયારે આપણે આજની તારીખમાં જોઈએ છીએ કે, હાલમાં જયારે આખુ વિશ્વ એકબીજા સાથે લડી રહ્યું હોય, ત્યારે એવો ભાવ થાય કે, ભગવાને કહેલી એક વાત પણ જો કોઈ સ્વીકારી લેને કે,એક વાતનો પણ જો અમલ કરી લેને તો આખા વિશ્વની શાંતિ એમ કહીએ ને કે એક મિનિટ જ દૂર હોય. પછી ભગવાને અહિંસાનો શબ્દ આપ્યો હોય તો પણ ભલે, ભગવાને અપરિગ્રહનો સંદેશ આપ્યો હોય તો પણ ભલે, ભગવાને અનેકાંતવાદની વાત કરી હોય, ભગવાને આપેલું જન્મથી કરીને ભગવાનના નિર્વાણ સુધીમાં ભગવાને આપણને કેટલી બધી વસ્તુઓ શીખવાડી હશે, એમાંથી કોઈ એક વસ્તુ આપણે ગ્રહણ કરી લઈએ ને તો અનેકાંતવાદનો સિદ્ધાંત કદાચ ક્યારેક અભ્યાસ કરવાનો અવસર મળે અને વિશ્વના નેતાઓને આ અનેકાંતવાદની જો કોઈ એક વાત હૃદયમાં સ્પર્શી જાયને વિશ્વ શાંતિ જાણે આપણા હથેળીમાં છે, અને એ અનેકાંતવાદનો સિદ્ધાંત આપનારા જો કોઈ હોય તો એ ભગવાન મહાવીર સ્વામી છે, અને એમના સિદ્ધાંતો આજથી અઢી ત્રણ હજાર વર્ષો પહેલા ભગવાન થયા છતાં પણ આજની તારીખે પણ એટલા જ એપ્લિકેબલ છે, આજની તારીખે પણ એટલા જ વેલીડ છે, આજની તારીખમાં પણ એટલા જ ઈમ્પ્લીટેબલ છે, આજની તારીખમાં પણ એટલા જ લોજીકલ પણ છે, આજની તારીખમાં પણ એટલા જ સાયન્ટીફિકલ પણ છે. એટલે ભગવાન મહાવીર એક વ્યક્તિત્વ છે, ભગવાન મહાવીર એક વિચાર છે, ભગવાન મહાવીર એક સંસ્કાર છે, ભગવાન મહાવીર એક પરંપરા છે, અને એમનો જન્મ કલ્યાણકનો દિવસ આપણા બધા જ માટે આપણા દુર્ગુણો દૂર થાય અને આપણા જીવનમાં એમનો એક ગુણ આવી જાય, એમના જીવનનો એક સંદેશ આપણા જીવનને સ્પર્શી જાય એજ મંગલ ભાવના. જયારે આ અંગે લીંબડી આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી કમલેશભાઈ શાહ જણાવે છે કે, અત્યારે લીંબડી ખાતેના આ દેરાસર 140 વર્ષ જૂનું દેરાસર છે, અને આ તીર્થંકર તરીકે જ છે, અને અહીં મુળનાયક તરીકે બાહુજીન સ્વામી છે, જે 20 વિહરમાનમાં ત્રીજા નંબરના છે, એ અહીં બિરાજમાન છે, આખા વિશ્વમાં આ બાહુજીન સ્વામી મૂળનાયક તરીકે હોય એવુ આ લીંબડી ખાતે એક જ દેરાસર છે, અહીં મહાવીર સ્વામિની મૂર્તિ પણ એટલી જ પ્રાચીન છે. આ દેરાસરમાં અત્યારે કુલ 112 ભગવાનનો પરિવાર છે, જે ધરતીકંપ પછી જીર્ણોદ્ધાર કરીને નવેસરથી પુન: નિર્મિત કરીને એની પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અંગે અજરામાર સંપ્રદાયના ભરતભાઈ ડેલીવાળાએ જણાવ્યું હતું કે, આ સ્થળ પ્રભુ મહાવીરના શાસનમાં ચાર ફીરકાઓ છે, સ્થાનકવાસી, મૂર્તિપૂજક, દિગંબર અને તેરાપંથી, એ પૈકી સ્થાનકવાસીમાં ગુજરાતમાં 12 સંપ્રદાયો છે, એ પૈકીનો લીંબડી અજરામાર સંપ્રદાયનુ આ હેડક્વાર્ટર છે, આ જગ્યા અજરામાર ગાદી તરીકે પ્રખ્યાત છે, અહીં રોજ સેંકડો યાત્રિકો દર્શન કરવા આવે છે. ખાસ તો અજરામાર સંપ્રદાયમાં સારાય ગુજરાતના ભક્તો છે, પણ ખાસ વિશેષ કરીને કચ્છ વાગડ, કંઠી અને ઝાલાવાડના શ્રાવકો વધુ છે, અત્યારે વર્તમાનમાં આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી એ આના ગચ્છાધીપતી છે, અને આ તસ્વીર દેખાય છે, એ અજરામાર દાદાની છે, અને એવુ કહેવાય છે કે, અજરામાર દાદા એકાવતારી છે, જૈન પરિભાષામાં એકાવતારી એટલે જેનો એક જન્મ લેવાનો બાકી છે, અને ત્યાર પછી એ ભગવાન બની જશે, મોક્ષ બની જશે, અને જૈન માન્યતા પ્રમાણે મહાવિદય ક્ષેત્ર જ્યાં સીમંધર સ્વામી બિરાજે છે, ત્યા આ અજરામાર દાદા જન્મ લેશે અને મોક્ષ પામશે અને ભગવાન બની જશે.
સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા 15 માર્ચથી 30 માર્ચ દરમિયાન ‘પોષણ પખવાડિયા’ની વ્યાપક અને અસરકારક ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજમાં માતા અને બાળકના આરોગ્યમાં ગુણાત્મક સુધારો લાવી, કુપોષણમુક્ત સમાજનું નિર્માણ કરવાનો રહ્યો છે. વૈવિધ્યસભર કાર્યક્રમો દ્વારા જનજાગૃતિઆ પખવાડિયા દરમિયાન ઉમરપાડાના દુર્ગમ ગામડાઓમાં પરિવાર માર્ગદર્શન, સમૂહ ચર્ચા અને પૌષ્ટિક વાનગીઓના પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત ભોજન પદ્ધતિને ધ્યાનમાં રાખીને ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સંતુલિત આહાર અંગેનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપોષણ સંગિનીઓનો પાયાનો ફાળોઆ મિશનની સફળતામાં ‘સુપોષણ સંગિનીઓ’ એ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. આ તાલીમબદ્ધ મહિલાઓએ ગામે-ગામ અને ઘરે-ઘરે જઈને સરળ આદિવાસી બોલીમાં પોષણ અને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડ્યો છે. સરકારના ICDS વિભાગના સહયોગથી આ આંદોલને ગ્રામ્ય સ્તરે વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું છે. સશક્ત સમાજ નિર્માણનો લક્ષ્યાંકઅદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, આ માત્ર એક ઔપચારિક ઉજવણી નથી પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી માટેનું એક જન-આંદોલન છે. આ પહેલ દ્વારા લોકોમાં પૌષ્ટિક આહાર, સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાના પ્રયાસો કરાયા છે. આ ઉમદા કાર્યથી ઉમરપાડાના છેવાડાના નબળા વર્ગોમાં પોષણ સ્તર સુધરશે અને એક સશક્ત આદિવાસી સમાજનું નિર્માણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પ્રદીપ કુમાર દ્વારા વડોદરા–નાગદા ખંડ પર રેલ સુરક્ષાને વધુ સઘન બનાવતી ‘કવચ’ સિસ્ટમનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડી.આર.એમ. રાજુ ભડકે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ કવચ પ્રણાલીથી સજ્જ રેલવે એન્જિનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વર્ઝન 4.0 સાથે ટેકનોલોજીનો ઉપયોગવડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી પશ્ચિમ રેલવેના સિગ્નલ અને ટેલિકોમ વિભાગ દ્વારા આ સ્વદેશી સિસ્ટમનું લોકાર્પણ કરાયું છે. આ સિસ્ટમ ‘કવચ’ના સૌથી આધુનિક વર્ઝન 4.0 ના ધોરણો મુજબ તૈયાર કરવામાં આવી છે, જે રેલવે સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ તકનીકી સુધારો ગણાય છે. આ ટેકનોલોજીના અમલીકરણથી ભારતીય રેલવેની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત અને વિશ્વસનીય બનશે. 224 કિલોમીટરનો રૂટ સુરક્ષિત બનશેઆ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 224.51 રૂટ કિલોમીટર (Rkm) વિસ્તારને કવચ પ્રણાલી હેઠળ આવરી લેવામાં આવશે. જેમાં વડોદરાથી મંગલ મહુડી (122.5 Rkm) અને પંચપિપલિયાથી નાગદા (102.01 Rkm) ખંડનો સમાવેશ થાય છે. આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માનવીય ભૂલોને ઘટાડીને કટોકટીના સમયે આપોઆપ હસ્તક્ષેપ કરે છે, જેનાથી ટ્રેન અકસ્માતોની શક્યતા નહિવત થઈ જશે.
ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. 01 એપ્રિલ, 2026ના રોજ વેરાવળ ખાતે આ પ્રક્રિયા યોજાઈ રહી છે, જેને પગલે જિલ્લાભરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળ-જૂનાગઢ હાઈવે પર આવેલી ‘હોટલ દક્ષ’ ખાતે સવારથી મોડી રાત સુધી મેરેથોન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9:00 થી 1:00 દરમિયાન વેરાવળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બપોરે 2:00 થી 6:00 દરમિયાન વેરાવળ નગરપાલિકા માટે અને સાંજે 7:00 થી 9:00 દરમિયાન સુત્રાપાડા નગરપાલિકા માટે પ્રક્રિયા યોજાશે. આ પ્રક્રિયા દરમિયાન પક્ષના ઇચ્છુક ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનો પોતાની રજૂઆતો કરી દાવેદારી નોંધાવશે. એક જ દિવસે ત્રણ અલગ-અલગ સ્તરે યોજાતી આ બેઠકોને કારણે રાજકીય વર્તુળોમાં આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્તરે મજબૂત અને વિજેતા બની શકે તેવા ઉમેદવારોની પસંદગી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના નિરીક્ષકો અને જિલ્લા સ્તરના નેતાઓ ઉમેદવારોની લોકપ્રિયતા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સામાજિક સ્વીકૃતિના આધારે વિગતવાર મૂલ્યાંકન કરશે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ સક્રિય બન્યો છે. ભાજપ પણ સંગઠનને વધુ મજબૂત બનાવી વિજય માટેની વ્યૂહરચના ઘડી રહ્યું છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર સેન્સ પ્રક્રિયા પારદર્શક અને લોકતાંત્રિક રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી યોગ્ય અને લાયક ઉમેદવારોને તક મળી શકે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે. વેરાવળ શહેરમાં રાજકીય ગતિવિધિઓનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્યની સરકારી કચેરીઓ અને જગ્યાઓ ઉપર તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ હોય છે, ત્યારે ઓફિસમાં ફરજ બજાવનારા અનેક કર્મચારીઓ પાન, મસાલા, તમાકુનું સેવન કરતા હોય છે. લોકો વ્યસન ઓછું કરે તેના માટેના અનેક પ્રયાસ વાત કરવામાં આવતા હોય છે, ત્યારે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન, તમાકુ અને મસાલા ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પીઆઇએ પોલીસ સ્ટેશનમાં તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ અંગેના બોર્ડ લગાવડાવ્યા છે અને જો કોઈપણ પોલીસ કર્મચારી પાન-મસાલા ખાતા મળી આવશે તો દંડ કરવામાં આવશે. પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને અત્યાર સુધી નિયમ મુજબ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લોકોને વ્યસનથી દૂર રાખવા માટે ખોખરા પીઆઇ દ્વારા પોતાના પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે. વ્યસનથી દૂર રહે તેના માટે આ પ્રયાસઃ PIખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. સાવલિયાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા અને તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ પોલીસ કર્મચારી વ્યસન કરીને આવ્યા અને પકડાય તો તેમને નિયમ મુજબ દંડ ફટકારવામાં આવે છે. અત્યાર સુધીમાં પાંચ જેટલા પોલીસ કર્મચારીને અમે દંડ પણ ફટકાર્યો છે. વ્યસનથી લોકો દૂર રહે તેના માટે આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં બોર્ડ પણ લગાવી દેવાયાપાન-મસાલા અને તમાકુ ખાવાની અનેક લોકો ટેવ ધરાવતા હોય છે. પોતાની ઓફિસની જગ્યા ઉપર પણ ગુટકા કે મસાલા ખાઈને કામગીરી કરતા હોય છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા કે તમાકુ ખાવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈપણ પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં પાન-મસાલા કે તમાકુ ખાઈ શકશે નહીં. પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરવાની સાથે જ બોર્ડ મારી દેવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે આથી ખોખરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓને જણાવવાનું કે કોઈ પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશન ખાતે પાન/મસાલા/તમાકુ ખાઇને આવવું નહીં. તેમજ પાન-મસાલા, તમાકુ ખાતા મળી આવશે તો તેઓના વિરુદ્ધ તમાકુ નિયંત્રણ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસકર્મીઓ ઓફિસમાં વ્યસન નહિ કરી શકેપોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વારથી લઈને પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ જગ્યાઓ ઉપર આવા બોર્ડ મારી વામાં આવ્યા છે. બેથી ત્રણ ઓફિસની બહાર આ જ પ્રમાણે બોર્ડ મારવામાં આવ્યા છે, જેથી જે પણ પોલીસ કર્મચારી ઓફિસમાં ફરજ બજાવતો હોય તેના ધ્યાન ઉપર આવે કે પોલીસ સ્ટેશનમાં પાન મસાલા કે તમાકુ ખાઈ શકશે નહીં.
આજે મહાવીર જયંતિ છે, ત્યારે 2600 વર્ષ અગાઉ દિક્ષા લીધા બાદ મહાવીર સ્વામીએ સૌ પ્રથમ વઢવાણની મુલાકાત લીધી હતી. જ્યા મરકી નામનો રોગચાળો ફેલાયેલો હતો. લોકવાયકા મુજબ ભગવાન મહાવીર સ્વામીના પવિત્ર પગલા પડતાં જ લોકોને મરકી રોગથી મુક્તિ મળી હતી. જેથી ગામનું નામ મહાવીર સ્વામીના મૂળ નામ પરથી “વર્ધમાનપુરી” પડ્યું હતી. જે સમય જતાં “વઢવાણ” તરીકે પ્રચલિત થયું. ભોગાવો નદીના કિનારે મહાવીર સ્વામીના પવિત્ર પગલાં આજે પણ યથાવત્ જોવા મળે છે. વઢવાણ એક ઐતિહાસિક અને પ્રાચીન શહેરસુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ એક ઐતિહાસિક અને પ્રાચીન શહેર તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. અહીં આવેલી વિવિધ પ્રકારની વાવો, દરવાજાઓ, ગઢ અને પૌરાણિક અવશેષો આજે પણ ઇતિહાસના જીવંત પુરાવા તરીકે ઉભા છે. વઢવાણ ગામની એક અનોખી લોકવાયકા પણ પ્રચલિત છે, જે શહેરના પ્રાચીન મહત્ત્વને ઉજાગર કરે છે. ‘બળદે અદભૂત શક્તિ બતાવી 500 ગાડા નદી પાર કરાવ્યાં’આ અંગે મંદિરના પૂજારી મેરૂભાઈ વજાભાઈ લકુમે જણાવ્યું હતું કે, આજથી આશરે 2600 વર્ષ પહેલાં અનાજ-કરિયાણાના એક મોટા વેપારી 500 બળદોના કાફલા સાથે વઢવાણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં રાત પડતાં તમામ બળદો થાકી ગયા. ત્યારે એક બળદે પોતાના શેઠને સંકેત આપ્યો કે ભોગાવો નદી તે તમામ ગાડાં પાર કરાવી દેશે. ત્યારબાદ તે બળદે અદભૂત શક્તિ બતાવી 500 ગાડા નદી પાર કરાવ્યાં, પરંતુ તેની હાલત અત્યંત નબળી બની ગઈ અને તે ચાલી પણ શકતો નહોતો. ‘પૂર્વ જન્મનો બદલો લેવા ભયંકર રોગ ફેલાવ્યો’વધુમાં જણાવ્યું કે, વેપારીએ આ બળદ ગામલોકોને સોંપ્યો અને તેની સંભાળ બદલ તેમને ધન-સંપત્તિ આપવાની વાત કરી. છતાં ગ્રામજનો દ્વારા બળદની યોગ્ય સંભાળ લેવામાં આવી નહીં અને થોડા સમયમાં જ તેનું મૃત્યુ થયું. કહેવાય છે કે મૃત્યુ બાદ તેને બીજા જન્મમાં શૂલપાણી યક્ષ તરીકે અવતાર મળ્યો. પૂર્વ જન્મની અવગણનાનો બદલો લેવા માટે તેણે વઢવાણમાં “મરકી” નામનો ભયંકર રોગ ફેલાવ્યો. આ રોગથી અનેક લોકોનાં મૃત્યુ થતાં ગામમાં હાડકાના ઢગલા લાગી ગયા અને તે સમયગાળામાં વઢવાણ “અસ્થિગ્રામ” તરીકે ઓળખાવા લાગ્યું. પૂજારીએ વધુમાં જણાવ્યું કે, આ પરિસ્થિતિની જાણ જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીને થતાં તેઓ ચોમાસું ગાળવા વઢવાણ પધાર્યા હોવાનું કહેવાય છે. લોકવાયકા અનુસાર, દીક્ષા લીધા પછીનું પ્રથમ ચોમાસું તેમણે અહીં પસાર કર્યું હતું. ભોગાવો નદી કિનારે એક રાત્રી રોકાણ દરમિયાન શૂલપાણી યક્ષે તેમને અનેક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સામે તેનું કોઈ બળ કામે આવ્યું નહીં. અંતે યક્ષ પરાજિત થયો અને ભગવાનનો શિષ્ય બની ગયો. ત્યારબાદ ભોગાવો નદી કાંઠે ભગવાનના ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી, જે આજે પણ અસ્તિત્વમાં છે. કહેવાય છે કે આ ઘટનાના પછી મરકી રોગથી લોકોને મુક્તિ મળી અને ગામનું નામ મહાવીર સ્વામીના મૂળ નામ પરથી “વર્ધમાનપુરી” પડ્યું, જે સમય જતાં “વઢવાણ” તરીકે પ્રચલિત થયું. આ પણ વાંચો…લીંબડીમાં બાહુજીન સ્વામીનું અનોખું દેરાસર:વિશ્વનું એકમાત્ર, 140 વર્ષ જૂનું; 112 ભગવાનનો પરિવાર
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે 31 માર્ચની વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે મકાનમાં મોટું નુકસાન થયું છે. ધડાકો એટલો જોરદાર હતો કે, આજુબાજુના બે મકાનના પણ બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોના નામ ફાયર વિભાગને સવારે 5.30એ કોલ મળ્યો હતોમળતી માહિતી મુજબ, અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ લીકેજ થયો છે, જેથી ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા, ત્યારે મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયેલો જોવા મળ્યો હતો. ઘરના સામાન અને ગાદલામાં આગ લાગેલી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી. મકાનના પોપડા પણ ઉખડી ગયાફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આગ લાગેલી જોવા મળી હતી. નાની ઓરડી જેવું મકાન હતું, જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને મકાનના પોપડા ઉખડી ગયા હતાં. આજુબાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતાં. એટલો જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો પણ બહાર દોડી આવ્યા હતા. ઘરમાં સૂતેલા લોકો ઈજાગ્રસ્ત હાલતમાં દોડીને બહાર આવ્યામકાનમાં પાંચેક જેટલા લોકો રહેતા હતા, જે બ્લાસ્ટ થવાના કારણે દાઝી ગયા હતા અને તરત જ દોડીને બહાર આવ્યા હતાં. સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવતા ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યારે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ત્યારે 108 એમ્બ્યુલન્સ દ્વારા પાંચ જેટલા દાઝેલા લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો, ત્યારે ઘરમાં સૂતેલા લોકો દોડીને બહાર આવ્યા હતા અને તેમને ઇજા થતાં હોસ્પિટલ ખસેડી દીધા છે. ગેસ લીકેજ થવાના કારણે ઘરમાં ગેસ ભરાયેલો હતોઃ ફાયર અધિકારીફાયર બ્રિગેડના અધિકારી ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ગેસ લીકેજ થયો હોવાના કારણે ઘરમાં ગેસ ભરાયેલો હતો અને વહેલી સવારે કોઈ કારણોસર આગ મળી તેના કારણે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો. પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેને ફાયર પહોંચી તે પહેલા હોસ્પિટલ ખસેડી દીધા છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગને બુજાવી દીધી હતી. મકાન માલિક કોણ છે અને સ્થાનિક રહેવાસીઓ ભાડે રહે છે કે કેમ? તે અંગે કોઈ માહિતી મળી નથી.
ગુજરાત મેરિટાઇમ બોર્ડના ચિફ એન્જીનિયરની ફરજ તળે આવતા પ્રોજેક્ટોના બેફામ ભ્રષ્ટાચાર, પ્રોજેક્ટની નિષ્ફળતાઓ અને 1000 કરોડ રૂપિયાના નુકશાન સામે તપાસ કરાવવામાં તંત્ર ઉણુ તો ઉતર્યુ હતુ, પરંતુ જેના પર ભ્રષ્ટાચારના અને પ્રોજેક્ટની નિષ્ફળતાના આક્ષેપો છે તેને નિવૃત્તિ બાદ એક્સટેન્શન આપવા માટેની હિલચાલ ચાલી રહી હતી તેની સામે લાલ બત્તી સમાન હેવાલ દિવ્ય ભાસ્કરના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થતા જીએમબીની દરખાસ્ત ટ્રાન્સપોર્ટ વિભાગે ફગાવી દીધી છે, અને ફાઇલ પરત મોકલી આપી છે. જીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયા ફેબ્રુઆરી-2026માં નિવૃત્ત થયા હતા અને એક્સટેન્શન મેળવવા માટે તેઓએ છેલ્લા બે માસથી દિલ્હી અને ગાંધીનગરના મંત્રાલયોમાં તળીયા ઘસી નાંખ્યા હતા, અનેક મંત્રીઓને કાકલૂદી કરી હતી તેથી જીએમબી દ્વારા તેને એક્સટેન્શન આપવાનો પ્રસ્તાવ આગળ ધકેલવામાં આવ્યો હતો. આ ફાઇલ ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગમાં મોકલવામાં આવી હતી, અહીં અધિકારીઓએ તલાવીયાના ભૂતકાળમાં ડોકીયુ કરતા અનેક પ્રોજેક્ટની ક્ષતિઓ, ભ્રષ્ટાચારની ગંધ સપાટી પર આવી હતી, અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એક્સટેન્શનની ફાઇલ નકારી કાઢી અને જીએમબીને પરત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો દર્શાવતો પત્ર ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિશોર કાનાણી (કુમાર) દ્વારા વડાપ્રધાન સહિતનાને લખવામાં આવ્યો હતો, છતા જીએમબીમાંથી એક્સટેન્શન આપવા માટેનો તખ્તો ઘડાવા લાગ્યો હતો. જીએમબી દ્વારા તલાવીયાના એક્સટેન્શનનો પ્રસ્તાવ વાઇસ ચેરમેન, સીઇઓ ડૉ.અજયકુમારની અનુપસ્થિતિમાં ટ્રાન્સપોર્ટ વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો, ત્યાંથી ફાઇલ અંગે ક્વેરી કાઢવામાં આવી હતી જેના સંતોષકારક ખુલાસા જીએમબી કરવામાં નિષ્ફળ રહેતા ટ્રાન્સપોર્ટ વિભાગે ફાઇલ જીએમબીને પરત મોકલી આપી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે ફાઇલ નકાર્યા બાદ ખાતાકીય કામગીરીજીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયાના નિવૃત્તિ બાદ નોકરી અંગેની ફાઇલ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નકારી કાઢવામાં આવી છે. ફાઇલ નકારી કાઢવામાં આવ્યા બાદની ખાતાકીય કામગીરી શરૂ છે. - ડૉ.અજયકુમાર, વાઇસ ચેરમેન, સીઇઓ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર ચિફ એન્જિનિયર તલાવીયા સામે ક્યા ક્યા આક્ષેપો હતા?જીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયાની સામે ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસની નિષ્ફળતા, રૂપિયા 250 કરોડના માંગરોળ મત્સ્ય ઉદ્યોગ હાર્બર પ્રોજેક્ટની નિષ્ફળતા, 300 કરોડના ડ્રેજીંગ કૌભાંડ, નવલખી પોર્ટ જેટીમાં 150 કરોડનું કૌભાંડ, જીએમબી રહેણાંકી વસાહતમાં કૌભાંડ, અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં જહાજ ભાંગવાની પરવાનગી આપવાનું કૌભાંડ, હોવરક્રાફ્ટ ખરીદી કૌભાંડ, વીટીએસ કૌભાંડના આક્ષેપ છે, પરંતુ જીએમબી દ્વારા તેની તટસ્થ તપાસ કરવવાને બદલે એક્સટેન્શન આપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.
ધોરણ 12 સાયન્સની પરીક્ષા:ધોરણ 12 સાયન્સની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20 ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે. રસાયણ વિજ્ઞાનની આન્સર કીમાં એક પ્રશ્નમાં તમામ વિકલ્પો સાચા જણાવ્યા છે એટલે કે વિદ્યાર્થીએ પ્રશ્નમાં ગમે તે ઉત્તર લખ્યો હશે સાચો રહેશે. કેમેસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમમાં આવી રીતે એક પ્રશ્નમાં તમામ વિકલ્પ સાચા છે. ભૌતિક વિજ્ઞાન ગુજરાતીમાં આવી રીતે 3 પ્રશ્નમાં વિકલ્પો સાચા અપાયા છે ભૌતિક વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં પણ 2 સવાલમાં વિકલ્પ સાચા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની આ આન્સર કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઈટ પર મુકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમ વાર પ્રશ્ન દીઠ અલગ રજૂઆત ઈમેલ આઇડી gshsebsciencekey@gmail.com પર તા. 4 એપ્રિલને શનિવારે સાંજે 6 સુધી કરવાની રહેશે ત્યારબાદની રજૂઆત ધ્યાને લેવાશે નહીં તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે. રજૂઆત ફક્ત email મારફત સ્વીકારાશે. જેમાં પ્રશ્ન દીઠ નિયત ફી ₹500 ચલણથી એસબીઆઇ બેન્કમાં ભરવાની રહેશે ચલણનો નમુનો બોર્ડની વેબસાઈટ પર મુકાયો છે રજૂઆતની સાથે નાણા ભરેલા ચલણની નકલ ઇમેલ મારફત મોકલવાની રહેશે જે પ્રશ્નની રજૂઆત કરી હશે અને તે સાચી થશે તો પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરાશે. બોર્ડના છાત્રો માટે વિનામૂલ્યે માર્ગદર્શન કેન્દ્રદર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આગળ અભ્યાસ નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રનો પ્રારંભ કરાયો છે જેમાં શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદી વિદ્યાર્થીઓના ભેરુ બની સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. કંપનીઓ કે સંસ્થાઓ સીધી કે અડકતરી રીતે કલાકના ધોરણે તોતિંગ ફી લે છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ તથા કારકિર્દી માટે માર્ગદર્શન નિઃશુલ્ક સ્વરૂપે પુરુ પાડવા કેન્દ્ર દ્વારા પ્રયાસો થશે. માર્ગદર્શન ઇચ્છતા વિદ્યાર્થીઓ કે વાલીઓને છેલ્લા બે વર્ષની માર્કશીટ સાથે રાખી ફોન નંબર 9924343536 પર અથવા રૂબરૂ મળી શકે છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:રાજપરા-2 ગામે અજાણ્યા વાહન અડફેટે યુવકનું મૃત્યુ
ઘોઘા તાલુકાના તણસા ગામે બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું દુઃખદ અવસાન થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતા ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. દિલીપભાઈ મેઘજીભાઈ ખડોદરાએ અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના મિત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી કે રાજપરા-2 ગામ નજીક નેશનલ હાઈવેના બ્રિજ નીચે તેમના ભાઈ નરેશકુમાર મેઘજીભાઈ ખડોદરાને કોઈ અજાણ્યા વાહન દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. આ જાણ મળતા જ દિલીપભાઈ પોતાના સંબંધીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં નરેશકુમાર ગંભીર ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
SGSTના એડિ. કમિશનર સામે પગલા:ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ IRS હેરમાને સિંગલ ઓર્ડરથી તત્કાળ પરત મોકલાયા
સ્ટેટ જીએસટીમાં વ્યાપકપણે ફેલાઇ ગયેલા ભ્રષ્ટાચાર અને ઉચ્ચ અધિકારી દ્વારા સીન્ડીકેટ રચી સરકારી તિજોરીને કરવામાં આવી રહેલા નુકસાન અંગે વડાપ્રધાનથી લઇ સીબીઆઇ, સીબીઆઇસી, મુખ્યમંત્રી સહિતના લોકોને આઇઆરએસ ધર્મેન્દ્ર ચંદુલાલ હેરમા સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સિંગલ ઓર્ડરથી અને તત્કાળ અસરથી સીબીઆઇસી બોર્ડમાંથી ડેપ્યુટેશન પર આવેલા હેરમાને અકાળે પરત મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવેમ્બર 2023માં ડી.સી.હેરમાને ગુજરાતમાં સ્ટેટ જીએસટીમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા, અને તેઓની પાસે એન્ફોર્સમેન્ટનો ચાર્જ હતો. હેરમાની સામે વ્યાપકપણે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હતી, અને સરકાર દ્વારા જીણી આંખે તેની સમીક્ષા પણ કરવામાં આવી રહી હતી. હેરમા અને તેની ટોળકીમાં સામેલ તુલસી, હરેશ, મીતુલ, ચીરાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારનો કાળો કેર વર્તવામાં આવ્યો હતો. નવાઇની વાતતો એ હતી કે, હેરમા પાસે એન્ફોર્સમેન્ટ વિભાગ હતુ, જો એન્ફોર્સમેન્ટની કોઇપણ ફરિયાદ હોય તો તેને તકેદારી વિભાગમાં તબદીલ કરવામાં આવે છે. આ તકેદારી વિભાગ પણ પોતાની પાસે જ રાખ્યો હતો, અને સ્ટાફમાંથી જો કોઇ ઉંચા-નીચા થાય તો મહેકમ વિભાગ પણ પોતાની પાસે હોવાથી સ્ટાફને રીમોટ સ્થળ પર બદલી કરી નાંખવાની ચીમકી આપી દબાવી દેતા હતા. હેરમા અને તેની ટોળકી દ્વારા કરવામાં આવેલા બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદો પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હતી અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સીબીઆઇસીમાં અકાળે પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને સરકારના આ પગલાના ઘેરા પ્રત્યાઘાત પડવાની સંભાવના છે. હેરમાના કરતૂતો પર આ પાણીઢોળ છે, કે તેના તમામ ભ્રષ્ટાચાર અને કલંકિત ટોળકી સામે ભ્રષ્ટાચારની વધુ તપાસ થશે? તેના અંગે પણ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.
વન અને પર્યાવરણ વિભાગમાં મોટાપાયે ફેરફાર:રાજ્યના 365 RFOની સામૂહિક બદલી
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ચાર વર્ષ બાદ આજે મોટાપાયે બદલીના ઓર્ડર કરાયા હતા. જેમાં નાયબ ભાવનગર વન સંરક્ષક કચેરીના વિસ્તરણ, વન્યજીવ અને નૉર્મલ રેન્જ ઉપરાંત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરીના કાર્યક્ષેત્રમાં આવતી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત રાજ્યના કુલ 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની સામૂહિક બદલીના ઓર્ડર કરાયા છે. ભાવનગર જિલ્લા સંલગ્ન સહિત રાજ્યની વન વિભાગની રાજ્યની 450 જેટલી રેન્જમાં થયા બદલીના ઓર્ડર નીકળ્યા હતા. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે કરેલા બદલીના ઓર્ડરમાં ભાવનગર વન સંરક્ષક કચેરી, રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરીમાં વિસ્તરણ, વન્યજીવ અને નૉર્મલ રેન્જમાં ફરજ બજાવતા 13 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી કરાઈ છે. જેમાં મોટાભાગના બદલીના ઓર્ડરમાં વન્યજીવ અને નોર્મલમાં ફરજ બજાવતા હતા તેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વિસ્તરણ મુકાયા છે. જયારે નોર્મલમાં ફરજ બજાવતા હતા તેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વન્યજીવમાં મુકાયા છે. ભાવનગર જિલ્લા સંલગ્ન રેન્જમાં ફરજ બજાવતા 13 RFOની બદલીRFOની બદલીમાં કિશોરસિંહ બારડની વલભીપુર રેન્જમાંથી બોટાદ વિસ્તરણ રેન્જમાં, ભરતભાઈ સોલંકીની સિહોર રેન્જમાંથી ઘોઘા વિ. રેન્જમાં, સુરેશભાઈ બારૈયાની મહુવા રેન્જમાંથી રિસર્ચ ભાવનગર રેન્જમાં, દિવ્યરાજસિંહ સરવૈયાની ભાવનગર રેન્જમાંથી વેળાવદર રેન્જમાં, મુકેશભાઈ વાઘેલાની જેસર રેન્જમાંથી સિહોર વિ.રેન્જમાં, જગાભાઈ આંબલીયાની પાલિતાણા વિ. રેન્જમાંથી જસદણ રેન્જમાં મૂકાયા છે. ,સુમીતાબેન ડાકીને સિહોર વિ.રેન્જમાંથી જુનાગઢ રિસર્ચ રેન્જમાં, અમિતકુમાર વાણિયાને ઘોઘા વિ. રેન્જમાંથી ખાંભા એમ.એસ. વન્યજીવમાં, નિમલબેન ગોલેતરને ઉમરાળા વિ. રેન્જમાંથી સિહોર રેન્જમાં, આરતીબેન શિયાળની તળાજા વિ.રેન્જમાંથી વન્યજીવ રેન્જ પાલિતાણામાં, જીજ્ઞાસાબેન શેતરણીયાને ગારિયાધાર વિ.રેન્જમાંથી વન્યજીવ જાફરાબાદ રેન્જમાં મૂકાયા છે. દિલીપભાઈ ગઢવીની વેળાવદર રેન્જમાંથી વન્યજીવ મહુવા રેન્જમાં, મોહનભાઇ બાંભણીયાની મો.સ્ક્વોડ વેળાવદરમાંથી વન્યજીવ મહુવા રેન્જમાં મુકાયા છે.
સરાહનીય સેવાકાર્ય:ઝીરો બેલેન્સ ધરાવતી રોબિનહુડ આર્મી સંસ્થાએ 6,62,000 લોકોને ભોજન આપી જઠરાગ્નિ ઠારી
રોબિનહુડ આર્મી સંસ્થા ભાવનગર શહેરમાં છેલ્લા નવ વર્ષથી સામાજીક ક્ષેત્રે પોતાની જવાબદારી સમજી કાર્ય કરી રહી છે. જેમા મુખ્યત્વે જરૂરીયાતમંદોને ભોજન, રાશન, કપડા, ચપ્પલ, ગરમ વસ્ત્રો જેવી વસ્તુઓ સાથે તેમના બાળકોને શિક્ષણ અંગેનુ યોગ્ય માર્ગદર્શન આપી સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. રોબિનહુડ આર્મી સંસ્થા વિશ્વના 13 દેશ અને 400થી વધુ શહેરોમાં પોતાનુ કાર્ય કરી રહી છે. જેમા મુખ્યત્વે જરૂરીયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનુ છે. સંસ્થા ઝીરો બેલેન્સ ઓર્ગેનાઇઝેશન હોવાના કારણે રોકડ દાન સ્વીકારવામાં આવતુ નથી. વસ્તુના સ્વરૂપમાં મળતુ દાન લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને પ્રસંગ પછી વધેલુ ભોજન સ્વીકારી લોકોને વિતરણ કરવામાં આવે છે. સાથે જન્મ દિવસ, એનવર્સરી, તિથિ, નિમિતે દાતા તરફથી ભોજન આપવામાં આવે છે. સમાજના લોઅર, મીડલ કલાસના ઘણા કુટુંબને જરૂરીયાત હોય પરંતુ સ્વમાન ભંગ થાય માટે કોઇની સામે હાથ ફેલાવી શકતા નથી તેવા વડીલો, નિ:સહાય હોય તેવા લોકોને ભોજન, રાશનકીટ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ સંસ્થા દ્વારા અપાય છે. રોબીન હુડ આર્મી છેલ્લા નછ વર્ષમાં 662000થી વધુ લોકોને ભોજન પહોંચાડી જઠરાગ્ની ઠારવાનો પ્રયાસ અવિરત રહયો છે. દિવાળી, મકરસંક્રાંતિ, ધુળેટી સહિતના તહેવારો અન્ય લોકોની જેમ ઉજવી શકે તે માટે મીઠાઇના પેકેટ, ચીક્કી, પતંગ, પીચકારી આપી બાળકો સાથે તહેવાર ઉજવવામાં આવે છે. રોબીનહુ઼ડ આર્મીના એકેડમી વિભાગ દ્વારા 70 થી 80 બાળકોને ભણતર આપી તેમા રૂચી વધે તેવા પ્રયાસ કરી સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમા અમુક તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દાતાઓના સહયોગથી અગ્રણી સંસ્થાઓમાં એડમીશન અપાવવામાં આવે છે. મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંગે કેમ્પ યોજી મહિલાઓને માર્ગદર્શન આપી દાતાઓના સહયોગથી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે આ કાર્યમાં ચિંતન વ્યાસ, હિતાંશી વ્યાસ, બીલ્વમ વ્યાસ, વિશાલ ભટ્ટ, ગૌતમ પરમાર, કાનજી ઢેઢી પીયુષ વ્યાસ, ચીંતન ભટ્ટ, ચીરાગ દેસાઇ, રેખા વ્યાસ, અભિજ્ઞા દેસાઇ, તૃપ્તી નિસરતા દ્વારા કાર્યો કરાય. વેલેન્ટાઇન-ડેને રોટી-ડે તરીકે ઉજવવામાં આવે છેવર્ષ દરમ્યાન દિવાળી, મકરસંક્રાંતિ, ધુળેટી સહિતના તહેવારો અન્ય લોકોની જેમ ઉજવી શકે તે માટે મીઠાઇના પેકેટ, ચીક્કી, પતંગ, પીચકારી આપી બાળકો સાથે તહેવાર ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન ડે ને રોટી-ડે તરીકે ઉજવી જરૂરીયાતમંદોને ગુલાબના ફુલને બદલે થેપલા-શાક આપી રોબીન હુડ આર્મી દ્વારા ઉજવણીનો એક નવો ચીલો પાડવામાં આવ્યો છે.
ભાવનગર કોર્પોરેશનને વિકાસ કામો માટે વર્ષ દરમિયાન જુદી જુદી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ મળતી રહે છે પરંતુ પ્રથમવાર ભાવનગર કોર્પોરેશનને 105.56 કરોડની સ્પેશિયલ આસિસ્ટન્ટ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં વિકાસ કામોના મોટા પ્રોજેક્ટ હાથમાં લીધા છે. ઘણા પૂર્ણ થવામાં છે તો ઘણા કાર્યરત છે. પરંતુ હજુ પણ વિકાસ કામોમાં ગ્રાન્ટની જરૂરિયાત હોય તો રાજ્ય સરકાર દ્વારા તમામ કોર્પોરેશનને જણાવતા ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ આગામી દિવસોમાં નવા વિકાસ પ્રોજેક્ટ સરકારમાં મૂક્યા હતા. ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં મોટા પ્રોજેક્ટ માટે ગ્રાન્ટની આવશ્યકતા દેખાડતા અને વર્ષ દરમિયાન કરેલી વિકાસની કામગીરીઓ પણ રજૂ કરતા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાસ કિસ્સામાં આઠ મહાનગરપાલિકાને 1321 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી ભાવનગર કોર્પોરેશનને 105.56 કરોડની ફાળવણી સ્પેશિયલ આસિસ્ટન્સ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અંતર્ગત મંજુર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભાવનગર કોર્પોરેશનને 22.75 કરોડની સ્પેશિયલ આસિસ્ટન્સ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે આ વખતે પ્રથમવાર ભાવનગર કોર્પોરેશનને આટલી મોટી રકમ 105.56 કરોડ ફાળવવામાં આવી છે. જામનગર, જુનાગઢ અને ગાંધીનગર કરતા પણ વધુ ભાવનગર કોર્પોરેશનને ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ ત્યારબાદ ચોથા ક્રમે ભાવનગરને 105.56 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આજે છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રહેશે:આજે મિલકત વેરો ભરવાનો છેલ્લો દિવસ
ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલમાં તમામ કામ પડતા મૂકી દરેક વિભાગને મિલકત વેરાની વસુલાતમાં જોડવામાં આવ્યા છે. વેરો ભરવામાં આવતીકાલ 31 માર્ચ અંતિમ દિવસ છે. ત્યારે 190 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા આજે 181.40 કરોડ સુધી પહોંચી ગયા છે. આજે એક જ દિવસમાં 3.56 કરોડની ઘરવેરાની આવક થઈ છે. આજ સુધીમાં કુલ બે લાખ કરદાતાઓએ વેરો કર્યો છે. કોર્પોરેશનની આવકના મુખ્ય સ્ત્રોત મિલકત વેરાના ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે છેલ્લા એક અઠવાડિયાથી તમામ વિભાગો દોડા દોડ કરી રહ્યા છે. આજે સોમવારે 1653 કરદાતાઓ દ્વારા 3.56 કરોડનો મિલકત વેરો ભરતા 181. 40 કરોડની આવક થવા પામી છે. આજે કુલ 53 મિલકતોને સીલ પણ કરવામાં આવેલી છે. કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં 7.37 કરોડના રિબેટ સાથે કુલ 176.55 કરોડની આવક થઈ છે. તેમજ 4.85 કરોડની જૂની કરપદ્ધતિમાંથી આવક થઈ છે. 31 માર્ચના રોજ સવારે 10 થી બપોરે 2 અને સાંજના 3 કલાકથી વેરો ભરપાઈ કરનાર છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રાખવામાં આવશે. રિકવરીમાં બેદરકારી, 25 અધિકારીઓને નોટિસભાવનગર કોર્પોરેશનમાં વેરા વસુલાતમાં જાગે ત્યારે ભાગની જેમ નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં હાફળા ફાફળા થઈ જાય છે. તમામ વિભાગોને રિકવરી માટે કામે લગાડ્યા છે. રજાના દિવસોમાં પણ અધિકારી કર્મચારીઓ પાસે રિકવરીની કામગીરી કરાવવામાં આવી રહી છે. તેમ છતાં પર્ફોમન્સ ગ્રાન્ટ મેળવવાના ટાર્ગેટ નજીક નહિ પહોંચતા હવે કોર્પોરેશન ઊંધે માથે થયું છે. ગૂગલ સીટ પર આંકડા નહિ ભર્યા હોવા તેમજ નબળી કામગીરી માટે તમામ 25 શાખા અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. આવતીકાલે અંતિમ દિવસ છે તે પૂર્વે અધિકારીઓને નોટિસ અપાતા તેની વિપરીત અસરને નકારી શકાય નહીં. ઘણા વિભાગોમાં રજાના દિવસે સારી કામગીરી કરી હોવા છતાં પણ તેઓને નોટિસ અપાતા નારાજગી પણ ફેલાયેલી છે. 3જીથી કેશ કલેક્શન, ઓનલાઇન પેમેન્ટ શરૂ થશેકોર્પોરેશન દ્વારા આગામી 1 અને 2એપ્રિલના રોજ મિલકતવેરાના સોફ્ટવેરનું મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી મિલકત વેરો ભરવા માટેની કેશ કલેક્શન વિન્ડો તેમજ ઓનલાઇન પેમેન્ટની સુવિધા આ બંને દિવસો દરમિયાન બંધ રહેશે. તારીખ 3જી એપ્રિલના રોજથી સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તદુપરાંત તારીખ 1લી એપ્રિલના રોજ કોર્પોરેશનના અન્ય તમામ સોફ્ટવેરનું પણ મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી તમામ સોફ્ટવેર તેમજ ઓનલાઇન સુવિધાઓ તારીખ 1 એપ્રિલના રોજ બંધ રહેશે. સેન્ટ મેરી સ્કૂલે 1.34 કરોડ વેરો ભર્યોઆજે સેન્ટ મેરી સ્કૂલના બાકી મિલકત વેરાના રૂ.1.34 કરોડની આવક થઈ છે. સેન્ટ મેરી સ્કૂલની બાકી મિલકત વેરા બાબતે કોર્ટમાં કેસ ચાલતો હતો. અંતે વિભાગ દ્વારા સમજાવટ કરતા સમાધાનકારી વલણ રાખી અને નિકાલ કરેલ છે. સેન્ટ મેરી સ્કૂલ દ્વારા તમામ બાકી વેરો 1.34 કરોડ ભરપાઈ કર્યો હતો.
સૌરાષ્ટ્ર સમાચાર બ્રેકિંગ:પાકિસ્તાને નકારેલું શિપ અલંગમાં પધરાવાશે!
અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડના તમામ શિપ બ્રેકરો અને બંને સરકારના સંયુક્ત પ્રયાસોથી પર્યાવરણ, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માપદંડોના ક્ષેત્રે અલંગ છેલ્લા 1 દસકાથી વિશ્વમાં સુવિધાઓ, સલામતી, પર્યાવરણલક્ષી શિપ બ્રેકિંગની બાબતમાં વિશ્વમાં પ્રથમ હરોળમાં કાર્યરત છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ તદ્દન પછાત અવસ્થામાં, બિનનિયંત્રિત, પર્યાવરણ, સુરક્ષાના નિયમોનો છેદ ઉડાડીને કામ કરી રહેલા શિપ બ્રેકિંગ દેશોની યાદીમાં યાદ કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા નકારી કાઢવામાં આવેલું એક મોટું ઓઇલ ટેન્કર શિપ અલંગમાં ભંગાણાર્થે આવી રહ્યું હોવાની બાબતોથી એજન્સીઓના કાન ચમક્યા છે. વર્ષ 2001મા નિર્માણ પામેલ સેરેસ-1 જહાજનું નામ અને ફ્લેગ બદલી અને તેને માલી નામથી ઓળખવામાં આવ્યુ હતુ. લાંબા સમયથી પાકિસ્તાનમાં હોવાને કારણે તેને સ્થાનિક શિપ બ્રેકરોની સવલતોને ત્યાં ભંગાણાર્થે પધરાવી દેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન જેવા નિયમોના અલ્પ પાલન માટે કુખ્યાત દેશ દ્વારા પણ તેને નકારી કાઢવામાં આવ્ય હતુ અને બાદમાં તેને અલંગમાં વેચવામાં આવ્યુ હોવાની હિલચાલને કારણે ભારતની એજન્સીઓના કાન ચમક્યા છે, અને તેના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જુલાઇ-2024માં સિંગાપોર નજીક સેરેસ-1 અને હાફનિયા નાઇલ નામના બે શિપ અથડાયા હતા અને તેમાં આગ ફાટી નિકળી હતી. સેરેસ-1 ઘટના સ્થળથી ભાગી નિકળ્યુ હતુ અને તેની ટ્રેકિંગ સીસ્ટમ પણ બંધ કરી દીધી હતી, બાદમાં કોસ્ટગાર્ડ દ્વારા તેને આંતરવામાં આવ્યુ હતુ અને સલામત એન્કરેજ પર લઇ આવ્યા હતા. ડિસેમ્બર-2024માં સેરેસ-1 શિપ વેનેઝુએલા અને ઇરાનના પ્રતિબંધિત ક્રુડ ઓઇલના માલ પરિવહનમાં સામેલ હતુ તેથી અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ કન્ટ્રોલ દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અકસ્માત બાદ તેને પાકિસ્તાનના કરાચી ખાતે લઇ જવામાં આવ્યુ હતુ. પ્રતિબંધિત જહાજો અંગે સરકાર અવઢવમાંઅમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ કન્ટ્રોલ (ઓફેક) દ્વારા પ્રતિબંધ મુકાયેલા જહાજોની સંખ્યા વિશ્વમાં વિશેષ છે અને સતત વધતી જાય છે. આવા જહાજોને મર્યાદિત માલ પરિવહન વ્યવસાય મળે છે, અને તેનો નિભાવ ખર્ચ વધી રહ્યો હોવાથી જહાજ માલીકો તેને ભંગાણાર્થે મોકલવા માટેનો વિકલ્પ વધુ પસંદ કરે છે. દક્ષિણ એશિયામાં અલંગ સિવાયના સ્થળો હજુસુધી આવા શિપને મંજૂરી આપતા નથી, ભારતના અલંગમાં આવા શિપ ભંગાણાર્થે લાવવાની વિશાળ તકો છે, પરંતુ સરકારે તેના માટે સ્પષ્ટ અને પારદર્શક નિયમો બનાવવાની આવશ્યક્તા છે. હાલ આવા શિપ અલંગમાં આવે તો છે પરંતુ બેંક દ્વારા તેના માટે લોન આપવામાં આવતી નથી.
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:જળસેવા : 112 પાણીના પોઈન્ટથી સાવજ સહિતના પ્રાણીઓ થશે તૃપ્ત
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વન્યજીવોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે ભાવનગર વન વિભાગ સજ્જ બન્યો છે. ભાવનગર વન વિભાગ કચેરી નીચે આવતી 6 વન રેન્જમાં કુલ 112 પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જેના કારણે જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓને મોટી રાહત મળશે. ભાવનગર વન વિભાગ દ્વારા રેન્જ હેઠળ ઉપલબ્ધ પાણીના પોઈન્ટને સમારકામ કરવા સહિત જરૂર જણાય તો નવા પોઈન્ટ બનાવવાનું પણ આયોજન ધરાયું છે. પાણી પોઈન્ટમાં ટેન્કર દ્વારા પાણી ભરવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે, જેથી ઉનાળામાં કોઈપણ સમયે પાણીની અછત ન સર્જાય. ઉનાળુ સિઝનમાં તૈયાર કરતાં પાણીના પોઈન્ટમાં વન્ય પ્રાણીઓ ઉપરાંત મધમાખી અને અન્ય નાના જીવ-જંતુઓ પાણી પી શકે તે માટે કોથળા અથવા શણની બનાવટની કોઈપણ વસ્તુ ઉપયોગમાં લેવામાં આવી છે. તેમજ સાબર, ચિતલ વગેરે જેવા તૃણાહારી પ્રાણીઓ વાળા વિસ્તારમાં પાણીના પોઈન્ટથી થોડે દૂર જ્યાં છાંયડો મળી રહે તેમ હોય ત્યાં વધારાના પાણીનો નિકાલ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાત પૂરી થશેભાવનગર વન વિભાગ નીચેના વિસ્તારમાં 118 સિંહ સહિતના વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં વિચરણ કરી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં વન્ય વિસ્તારોમાં પાણી જરૂરિયાત ઉભી થતી હોય છે. વન્ય પ્રાણીઓના કુદરતી ખોરાકની સાથે પાણીની જરૂરિયાત પણ પૂર્ણ થાય તેવા હેતુથી કૃત્રિમ રીતે પાણીના 112 પોઇન્ટ ઊભા કરાયા છે. જેથી વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાત પુરી થશે. > યોગેશ દેસાઇ, નાયબ વનસંરક્ષક, ભાવનગર વન વિભાગ 6 રેન્જમાં કેટલા પાણીના પોઈન્ટ ?◾ભાવનગર રેન્જ 21 પોઈન્ટ◾ પાલિતાણા રેન્જ 23 પોઈન્ટ◾મહુવા રેન્જ 22 પોઈન્ટ◾સિહોર રેન્જ 11 પોઈન્ટ◾જેસર રેન્જ 24 પોઈન્ટ◾વલભીપુર રેન્જ 11 પોઈન્ટ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 38 વોટર પોઇન્ટ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરી નીચેની વેળાવદર અને મોબાઈલ સ્ક્વોડ રેન્જમાં પણ ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈ વન્યજીવો માટે પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે. જેમાં વેળાવદર રેન્જ નીચેની કાળાતળાવ બીટમાં 15, ભડભીડ બીટમાં 7 અને મેવાસા બીટમાં 4 મળી કુલ 26 પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે. તેમજ મોબાઈલ સ્ક્વોડ રેન્જમાં સનેસ બીટમાં પણ 12 પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે.
આ ધરતી પર જીવવાનો દરેક જીવને અધિકાર છે..' બસ આ જ ધ્યેય સાથે મૂળ ભાવનગરના અને 19 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રચના પારેખે પોતાના બિઝનેસમાં જીવનભરની કરેલી કમાણી શેરીના બીમાર અને નિરાધાર શ્વાન પાછળ ખર્ચી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘોઘા તાલુકાના મોરચંદ ગામમાં બે એકર જગ્યામાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે શ્વાનનું રિટાયરમેન્ટ હોમ અને રિહેબિલીટેશન ફેસીલીટી ઉભી કરી છે. છેલ્લા 19 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરતા રચના પારેખ ટીન્સ્કીનું સિમ્બા નામનું પાલતુ શ્વાન બીમારીને કારણે મૃત્યુ પામ્યું હતું. જેથી તેઓ આઘાતમાં સરકી ગયા હતા. પરંતુ રડવાથી કંઈ મળે તેમ મન મક્કમ કરી ભાવનગર પોતાના વતન આવ્યા. ભાવનગરની શેરીઓના શ્વાનને સ્થિતિ જોઈ હૃદય દ્રવી ઉઠ્યું હતું. જેથી શેરીના બીમાર, નિરાધાર, ઘવાયેલા અને જેની માતા મૃત્યુ પામેલી છે તેવા શ્વાનના બચ્ચાની સારસંભાળ તેમજ સારવાર માટે ઘોઘા તાલુકાના મોરચંદ ગામે બે એકર જગ્યામાં સિમ્બાઝ સેન્ચ્યુરી નામના શ્વાનના રિટાયરમેન્ટ હોમ અને રીહેબિલિટેશન ફેસીલીટી શરૂ કરી છે. જિંદગીમાં જે કમાયાં તે શ્વાન પાછળ ખર્ચ કરી રચના પારેખ આત્મસંતોષ માણી રહ્યા છે. સિમ્બાઝ સેન્ચ્યુરીમાં દોઢસોથી વધુ શ્વાનને હાલમાં સંભાળ અને સારવાર કરવામાં આવી રહી છે. તેમજ લોકોમાં પણ જાગૃતિ લાવી શ્વાન પર અત્યાચાર નહીં કરવાની પોઝ યુનિવર્સ ફાઉન્ડેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સિમ્બાઝ સેન્ચ્યુરીમાં રચના પારેખ ટીન્સ્કી સાથે ધર્મેન્દ્ર તીરડીયા અને આદિત્યસિંહ ગોહિલ પણ ફાઉન્ડર તરીકે સેવા આપી રહ્યા છે. શ્વાન સતત તજજ્ઞોની દેખરેખ હેઠળ રહે છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવાયેલું રિટાયરમેન્ટ હોમ અને રીહેબિલીટેશન ફેસીલીટી ભાવનગરમાં કદાચ પ્રથમ બની રહેશે. રોજ ગ્રાઉન્ડમાં લઈ જવાય, 50 ફૂટ દોડી શકે તેટલા ગાળાસિમ્બાઝ સેન્ચ્યુરીમાં શ્વાનઓને 50 ફૂટ દોડી શકે તે રીતે તેઓની સેપરેટ જગ્યાના ગાળા રખાયા છે. શ્વાનઓ અંદર ખુલ્લી રીતે હરી ફરી શકે છે. તેટલું જ નહીં પરંતુ દરરોજ શ્વાનઓને ગ્રાઉન્ડમાં પણ લઈ જવાય છે અને તેઓને રમાડવામાં આવે છે. 24 કલાક શ્વાનનની દેખરેખ રાખી રેગ્યુલર ચેકઅપ કરાય છે. શ્વાનને પંખા, કુલર અને ગરમીમાં રાહત માટે ફુવારાની પણ સુવિધાસિમ્બાઝ સેન્ચ્યુરીમાં શ્વાન માટે તમામ જાતની સગવડતા ઊભી કરવામાં આવી છે. હાલમાં ગરમીનું વાતાવરણ હોવાથી શ્વાનઓ માટે પંખા, કુલર તેમજ સ્પ્રિન્કલ ફુવારાની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ પાણીના મુકાયેલા કુંડામાં પણ દિવસમાં ત્રણ વાર પાણી બદલાવામાં આવે છે. શ્વાનના ફિટનેસનું ધ્યાન રાખી વેટરનરી ડોક્ટરની સલાહ મુજબ ખોરાક આપવામાં આવે છે. બીમાર શ્વાનને વધુ સારવાર માટે મોકલાય છે અમદાવાદશેરીઓમાં ઈજાગ્રસ્ત અને બીમાર શ્વાનને સિમ્બાઝ સેન્ચ્યુરીમાં લાવવામાં આવે છે, પરંતુ ઘણીવાર ગંભીર ઈજા અથવા બીમાર શ્વાનઓને સ્થાનિક કક્ષાએ અદ્યતન સુવિધા ન મળે તો તેમને અમદાવાદ પોઝ યુનિવર્સિટી સુપર સ્પેશિયાલિટી વેટરનરી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવે છે.
રામાયણ ફાર્મ ખાતે સંગરાત્રીનું આયોજન કરાયું:રંગીન વસ્ત્રો, મીઠા સૂર સાથે ગરબાની સંગરાત્રી
રામાયણ ફાર્મ ખાતે સંગરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ચણિયા-ચોળી, કેડિયા અને વિવિધ ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ યુવાનો, મહિલાઓ અને પરિવારો ગરબાના તાલે ઝૂમ્યા હતા. લોકગીતો અને આધુનિક સંગીતના સંગમ સાથે ગરબાની રમઝટ જામતાં સમગ્ર માહોલ રંગીન અને ઊર્જાવાન બન્યો હતો. સાંઈ ગરબા ક્લાસ દ્વારા આયોજીત આ કાર્યક્રમ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના ગરબા સ્ટેપ્સનું પણ ખાસ આકર્ષણ રહ્યું હતું. પાર્ટિસિપન્ટ્સે બેઝિક બે તાળી, ત્રણ તાળી, હિંચ અને ડોડિયા જેવા પરંપરાગત સ્ટેપ્સ સાથે સાથે નવીન અને ફ્યુઝન સ્ટાઈલના સ્ટેપ્સ પણ રજૂ કર્યા હતા.
મોટા વરાછા સ્થિત સરદાર ધામમાં “લવ એલ્ગોરિધમ” વિષય પર માર્ગદર્શનાત્મક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સાયકોલોજી એક્સપર્ટ હિમાંશુ સાણંદિયા વક્તા તરીકે જોડાયા હતા અને પ્રેમના મનોવિજ્ઞાનિક પાસાઓ પર ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું. પ્રેમને જીવંત રાખવા કન્શિયસનેસ, કંપેશન અને એકશન જરૂરી છેપ્રેમ કોઈ એક માત્ર લાગણી નથી, પરંતુ તે ત્રણ મુખ્ય આધાર આકર્ષણ, કનેક્શન અને ડેડિકેશન પર આધારિત એક જીવંત અનુભવ છે. ડિઝાયર શરૂઆતનું આકર્ષણ છે, જે વ્યક્તિને એકબીજા તરફ ખેંચે છે. પરંતુ લાંબા ગાળે સંબંધને મજબૂત બનાવવામાં કનેક્શન અને ડેડિકેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડેડિકેશન આધારિત પ્રેમમાં સ્વતંત્રતા, સહયોગ અને આપવાની ભાવના વિકસે છે. સાચો પ્રેમ ત્યારે ખીલે છે જ્યારે સંબંધમાં સમર્પણ અને સમજણ બંને હોય. તેને જીવંત રાખવા માટે ત્રણ મહત્વના તત્વો કન્શિયસનેસ, કંપેશન અને એકશન જરૂરી છે. કન્શિયસનેસ દ્વારા વ્યક્તિ પોતાના અને પાર્ટનરના વિચારો અને ભાવનાઓને સમજવા સક્ષમ બને છે, જ્યારે કંપેશન સંબંધમાં સહાનુભૂતિ અને સ્વીકાર લાવે છે. એકશન પ્રેમને વર્તનમાં ઉતારવાનું સાધન છે, જે નાની-નાની કાળજી, સમય અને પ્રયત્નો દ્વારા વ્યક્ત થાય છે. લવ સ્વીકાર, વિશ્વાસ અને આંતરિક પૂર્ણતામાંથી જન્મે છે, જેમાં સામેની વ્યક્તિને બદલવા કરતાં તેને સ્વીકારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ સંબંધ એક સુરક્ષિત જગ્યા બને છે, જ્યાં સમજણ, સહાનુભૂતિ અને ગ્રોથ મહત્વનું પરીબળ હોય છે. જેમાં પરસ્પર વિશ્વાસ સાથે પોતે જ સાચા છે તેઓ અભિગમ છોડીને સંબંધને વધુ ઊંડો, શાંત અને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાય છે. seminar
SVNIT એલ્યુમની એસો.ની મ્યુઝિકલ નાઇટ:સંગીત, સ્નેહ સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો મેસેજ
SVNIT એલ્યુમની એસોસિએશન સુરત ચેપ્ટર દ્વારા “રંગ બરસે” મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું હતું. રંગ ભવન જીવન ભારતી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતપ્રેમી સભ્યોએ હાજરી આપી હતી. એલ્યુમની અને તેમના પરિવારજનોએ જૂના અને નવા ગીતોની સુંદર રજુઆત કરી હતી. ઇવેન્ટમાં વિવિધ પ્રકારના સંગીત જેમ કે સુફી, ગઝલ, બોલીવુડ અને લાઇટ મ્યુઝિકનો સંગમ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ SVNITના પૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના સ્નેહ, મિત્રતા અને જોડાણને વધુ મજબૂત બનાવતો એક સુંદર અવસર સાબિત થયો હતો. જેને વિદ્યાર્થીઓની જૂની યાદો ફરી તાજી કરી હતી. કાર્યક્રમની વિશેષતાસુરત ચેપ્ટર દ્વારા દિવ્યાંગ બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાળકોના ઉત્સાહભર્યા ડાંસથી સમગ્ર વાતાવરણ આનંદ અને પ્રેરણાથી છલકાઈ ઉઠ્યું હતું. આ પહેલે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સચિન જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીના માલિકને પાસેથી રૂ. 1.45 કરોડની કિંમતનું લેકર ફિલ્મ અને જરીનું મટિરિયલ ઉધારમાં લીધા બાદ કિમમાં આવેલું પોતાનું કારખાનું બંધ કરીને નાસી ગયેલા પિતા પુત્ર સામે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સલાબતપુરા ધામલાવાડ ખાતે રહેતા અમિત નગીનદાસ કાપડિયા સચિન જીઆઇડીસીમાં શિવ શક્તિ જરીના નામે ફર્મ ધરાવે છે અને લેકર ફિલ્મ અને જરી બનાવવાનો ધંધો કરે છે. ફેબ્રુઆરી 2025ના રોજ તેમની ફેક્ટરી પર ભરત વિઠ્ઠલ ફિનાવીયા આવ્યા હતા. કીમ માંડવી રોડ પર આવેલા મોલવનગામમાં એન્જેલિયા પોલીફિલ્મસ ઇન્ડ.ના નામે તથા સચિન જીઆઇડીસી ડાયમંડ ઇન્ડ.પાર્કમાં એનજલ ઇન્ડસ્ટ્રીઝના નામે ફેકટરી હોવાનું તથા તેમને લેકર ફિલ્મની વધારે જરૂર પડતી હોવાનું કહ્યું હતુ. તેમની વચ્ચે 30 દિવસમાં પેમેન્ટ કરવાનું નક્કી થયું હતું. જેથી ફેબ્રુઆરી 2025માં અમિતે રૂ.3.31 લાખનો માલ મોકલ્યો હતો. જેનું સમયસર પેમેન્ટ કરીને ભરત અને તેના પિતા વિઠ્ઠલે વિશ્વાસ કેળવી લીધો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરે ચમકવાની મોટી તક આવી છે. ભારતના ચૂંટણી પંચની ટ્રેનિંગ અને રિસર્ચ વીંગ એટલે કે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) મારફતે વર્ષ 2026 માટે ત્રણ નવી શૈક્ષણિક પહેલ શરૂ કરાઈ છે. આ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને VNSGUની કોલેજો સહિત દેશભરની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પત્ર લખીને આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને જોડવા તાકીદ કરાઈ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં લોકશાહી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ચૂંટણી સંચાલન જેવા વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને જર્નાલિઝમ, પોલિટિકલ સાયન્સ અને લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ્સ કેરિયર બનાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જૂન 2026 માં દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પસંદગી પામેલા રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવશે. આ જ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરાશે, તેમ સૂત્રોએ કહ્યું હતું. આ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ-પ્રોફેસરો જોડાઈ શકશે આ છે ચૂંટણી પંચના પ્રોજેક્ટ
શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ:300% નફાની લાલચ આપી વેપારી સાથે 5 લાખની ઠગાઈ
300 ટકા નફો અપાવવાની લાલચ આપીને ગઠીયાએ શેરબજારમાં રોકાણના નામે રૂપિયા પડાવી લઇને રૂ.5.32 લાખની ઠગાઇ કરનાર ગઠીયા વિરૂદ્ધ સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે. અઠવાલાઇન્સ સ્થિત પુજા અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા મનલ્પ વિરેન્દ્રકુમાર શાહ (ઉવ,32) જેમ્સ સ્ટોનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવેમ્બર 2025માં સોશિયલ મીડિયા પર શેર બજારમાં રોકાણ કરી નફો કમાવવાની જાહેરાત જોઇ હતી. જ્યારે મનલ્પે ક્લિક કરતા તેમને C205 Market Trenda (ARES) નામના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ સરબરી સાહા અને ઇશિકા નામની વ્યક્તિએ એડમિન હોવાનું અને તેણે શેરબજારની માહિતી આપી રોકાણ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ગઠિયાઓએ તેમને Ares Diversified નામની એક નકલી એલ્પપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ ગઠીયાએ તેમને એપ્લિકેશનમાં નફો થતા હોવાનું બતાવીને ટુકડે ટુકડે રૂ.11.70 લાખ જમા કરાવ્યા હતા. જોકે, બાદમાં રૂ. 5.75 લાખ જ વીડ્રો કરવા દીધા હતા. બાકીના રૂ. 5.32 લાખ વીડ્રો કરવા દીધા ન હતા. જ્યારે આ રુપિયા વીડ્રો કરવા માટે 20 ટકા પ્રોફિટ શેરિંગ પેટે રૂ. 2 લાખ ભરવા દબાણ કર્યુ હતું. આખરે વેપારી મનલ્પ શાહને છેતરપિંડી કર્યાનો એહેસાસ થતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
વેસુ વિસ્તારમાં રહેતા મહિલા જ્વેલર્સ પાસેથી ઘરેણાં બનાવવા માટે સોનું અને ડાયમંડ મળી કુલ રૂ.31.45 લાખનો મુદ્દામાલ લઇને છેતરપિંડી કર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વેસુ જોલી રેસીડેન્સી પાસે આવેલા એસએનએસ સ્પ્લેન્ડીડમાં રહેતા રોશના બિપીનકુમાર સાકરીયા છેલ્લા સાત વર્ષથી આર.ડી જ્વેલર્સના નામે ઘરેથી સોના અને હીરાના ઘરેણાં વેચવાનો ધંધો કરે છે. હરિપુરા ભવાની મંદિર પાસે પંચોલી શેરીમાં ઓફિસ ધરાવતા નયનશીલ ઉર્ફે બિંદુ સોના-હીરાના દાગીના બનાવવાનું કામ કરે છે. એપ્રિલ 2025માં રોશની સાકરિયાએ તેની પાસે સોનાના દાગીના મજુરી પર બનાવવાનું શરૂ કર્યું હતું.તેઓ કાચુ સોનું આપતા હતા જેમાંથી બિંદુ દાગીના બનાવી આપતો હતો. જ્યારે બચેલુ સોનું પોતાની પાસે રાખીને બીજા ઓર્ડરમાં સોનું ઉપયોગ કરી લેવાનું કહેતો હતો. આ રીતે બિંદુએ મહિલા રોશની સાકરીયા પાસેથી રૂ.30.80 લાખની કિંમતનું 220 ગ્રામ સોનું અને રૂ.65,000ની કિંમતના 1.56 કેરેટ હીરા પોતાની પાસે જમા રાખ્યા હતા. જ્યારે રોશનીએ જમા રાખેલા પોતાના સોના અને ડાયમંડમાંથી દાગીના બનાવવાનું કહેતા બિંદુએ બહાના બનાવવાનું શરૂ કરી દીધુ હતું. બાદમાં પોતાની ઓફિસ બંધ કરીને કોલકાતા નાસી ગયો હતો. આખરે રોશની સાકરિયાએ વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 22 (ભટાર-વેસુ-ડુમ્મસ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ભાસ્કરની ટીમ જ્યારે આ વિસ્તારના આઝાદનગર અને રસુલાબાદ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, સ્થાનિકો પાયાની સુવિધાઓથી વંચિત છે. વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી લોકોમાં સિસ્ટમ પ્રત્યે ભારે નારાજગી છે. અહીંના લોકોના મનમાં એક જ સવાલ છે કે જો 5 વર્ષમાં કામ ન થતા હોય તો ચૂંટણી સમયે જ નેતાઓ કેમ દેખાય છે? આઝાદનગરના રહીશો ખાડીપૂર અને ગંદકી વચ્ચે જીવવા મજબૂરઆઝાદ નગર વિસ્તારની સ્થિતિ દર વર્ષે ચોમાસામાં અત્યંત દયનીય બની જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં દર 2 વર્ષે ખાડીપૂર જેવી સ્થિતિ સર્જાય છે. રસ્તાઓ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. માત્ર પાણી જ નહીં, પરંતુ ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. સ્થાનિક રહેવાસી સોપુબેન ચૌહાણે રોષ ઠાલવતા જણાવ્યું કે, અમે અહીં 35-40 વર્ષથી રહીએ છીએ, પણ અહીં માત્ર મુખ્ય રોડ જ સાફ થાય છે. અંદરની ગલીઓમાં એટલી ગંદકી છે કે રહેવું મુશ્કેલ છે. સફાઈ કામદારો આવે છે પણ ઉપરછલ્લું કામ કરીને ચાલ્યા જાય છે. 'પીવાના પાણીમાં કીડા, કોર્પોરેટર કોણ છે એ પણ અમને ખબર નથી'આધુનિક સુરતની વાતો વચ્ચે આઝાદનગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. જનાબેન નામના મહિલાએ જણાવ્યું કે, સવારના સમયે નળમાં જે પાણી આવે છે તે અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે. ઘણીવાર તો પાણીમાં જીવતા કીડા પણ જોવા મળે છે. તંત્રને અનેકવાર અરજીઓ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીંના મોટાભાગના મતદારો પોતાના વિસ્તારના કોર્પોરેટરના નામ કે ચહેરાથી પણ અજાણ છે. લોકોનું કહેવું છે કે, અમારા વિસ્તારમાં કોઈ કોર્પોરેટર ડોકાતા જ નથી, તો અમે ઓળખીએ કોને? ચૂંટણી સમયે જ નેતાઓ ગીધની જેમ કેમ તૂટી પડે છે?સ્થાનિક રહીશ પોપટભાઈએ નેતાઓની કામગીરી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીના પાંચ વર્ષમાં નેતાઓ ક્યારેય જોવા મળતા નથી, પણ જેવી ચૂંટણી નજીક આવે એટલે એક આ બાજુ ભાગે અને બીજો પેલી બાજુ. તેમણે નેતાઓની સરખામણી ગીધ સાથે કરતા કહ્યું કે, જેમ કંઈ પડેલું હોય અને તેના પર ગીધડા બેસી જાય, તેમ ચૂંટણી આવતા જ નેતાઓ મતની લાલચમાં દોડી આવે છે. એકવાર ચૂંટણી પતી જાય એટલે ફરી પાંચ વર્ષ સુધી કોઈ ડોકાતું નથી. હાલમાં અહીં રિક્ષા સ્ટેન્ડ અને ટ્રાફિકની સમસ્યા એટલી વધી ગઈ છે કે લોકોને ચાલવા માટે રસ્તો પણ મળતો નથી. સ્ટોર્મ લાઇન કાગળ પર, હકીકતમાં ચોમાસામાં જનજીવન નર્કાગારસરકાર અને તંત્ર દ્વારા મોટાપાયે 'સ્ટોર્મ વોટર લાઈન'ના પ્રોજેક્ટ્સની વાતો કરવામાં આવે છે, પરંતુ આઝાદનગરના પ્રભાકર કાશીનાથ લાઠે જણાવે છે કે, આ બધું માત્ર ટીવી અને પેપરમાં જ સીમિત છે. હકીકતમાં જ્યારે ખાડી ભરાય છે ત્યારે પાણીનો નિકાલ થતો નથી અને બે-ત્રણ દિવસ સુધી શેરીઓમાં પાણી ભરાયેલા રહે છે. ગંદા પાણી અને કચરાના કારણે આ વિસ્તારમાં મહામારી ફેલાવાનો ભય સતત રહે છે. સ્થાનિકોની તંત્ર પાસે એક જ અપીલ છે કે ડ્રેનેજ સિસ્ટમ સુધારો અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવો. સ્લમ વિસ્તારની અવગણના: અમારી સમસ્યાનું નિવારણ અમારે જ કરવું પડે છેમદન રામચંદ્ર નામના મતદારે જણાવ્યું કે, નેતાઓ અને કોર્પોરેટરોના મનમાં કદાચ એવું બેસી ગયું છે કે, આ સ્લમ વિસ્તાર છે એટલે અહીં જવાની જરૂર નથી. પાંચ વર્ષ વીતી ગયા છતાં કોઈએ જનતાની સમસ્યા જાણવાની કોશિશ કરી નથી. લોકોનું કહેવું છે કે જનતા શું વિચારે છે એના પર કોઈ વિચાર કરતું નથી. એટલે જ આ વખતે લોકો મક્કમ છે કે જો પાયાની સુવિધાઓ જેવી કે સફાઈ અને ચોખ્ખું પાણી નહીં મળે, તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. લોકોમાં હવે એક જ ગુંજ છે: “પહેલા કામ કરો, પછી જ મતની અપેક્ષા રાખો.”
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 41 એટલે કે વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેવી કામગીરી થઈ છે. અહીં થયેલા વિકાસ અને થઈ રહેલા વિકાસને લઈ મતદારો શું કહી રહ્યા છે. તે જાણવા માટે ભાસ્કર વસ્ત્રાલ વોર્ડમાં પહોંચ્યું. કેટલાક લોકો અહીંના વિકાસથી ખુશ દેખાયા તો કેટલાક મતદારો આક્રોશિત જોવા મળ્યા. આજે વાત વસ્ત્રાલ વોર્ડના મતદારોની. અહીં વિકાસની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ થયો છે- અભિષેકભાઈવસ્ત્રાલના રહીશ અભિષેકભાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં મોટાભાગે જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા છે. પેવર બ્લોકના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. એક જગ્યાએ પેવર બ્લોક નાખી કાઢી નાખવામાં આવ્યા હતા.ત્યારબાદ ફરી નવા પેવર બ્લોક નાખવામાં આવ્યા. આગળ રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું પણ નથી. વસ્ત્રાલમાં વિકાસ તો થયો જ છે. પણ સાથે સાથે ભ્રષ્ટાચાર પણ એટલો જ થયો છે. જ્યારે અમે વસ્ત્રાલ વોર્ડમાં નિરાંત ચાર રસ્તા પાસે પહોંચ્યા તો લોકોના જણાવ્યા મુજબ, હમણાં 2 મહિના પહેલા ત્યાં ટ્રાફીક સિગ્નલ લાગી જવાને કારણે ટ્રાફીક જામ ઓછો જોવા મળ્યો હતો. જોકે લોકોના જણાવ્યા અનુસાર, આ મેટ્રો સ્ટેશન વાળા રૂટ પર વરસાદ દરમિયાન કેડસમા પાણી ભરાઈ જવાની સમસ્યા થતી હોય છે. મેટ્રો રૂટથી અંદરના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. વસ્ત્રાલ વોર્ડમાં છેલ્લા 10 વર્ષથી રહેતા હેત પંચાલે જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં હજી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સમસ્યાઓ પણ ખૂબ જોવા મળે છે જેમ કે રસ્તાઓ ખોદીને રાખ્યા છે પરંતુ તેની માટે કોઈ વૈકલ્પિક રસ્તો આપવામાં આવતો નથી. આ વિસ્તારમાં વરસાદની સિઝનમાં મોટાભાગના લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે. કારણ કે જે પણ નોકરીયાત વર્ગ અથવા વિદ્યાર્થીઓ હોય છે તે પોતે આ રસ્તા પરથી પસાર થતાં પોતાના વ્હીકલ માં પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ જતા હોય છે અને દરેક લોકોને ખૂબ તકલીફ પડતી હોય છે. મને અમારા કોર્પોરેટરનું નામ નથી ખબર પરંતુ તેમના એડ્રેસની ખબર છે. રસ્તા પર ભરાતી શાકમાર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યાઅન્ય રહીશ ભાવિકભાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં ડેવલપમેન્ટ તો સારું થયું છે. પણ નિરાંત ચાર રસ્તા પાસે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી એ પણ છેલ્લા 2 મહિનાથી સિગ્નલને કારણે ઓછી થઈ ગઈ છે. પરંતુ મેટ્રો સ્ટેશન પિલર 135થી સ્વામિનારાયણ મંદિર જતો રસ્તો ખૂબ જ ટ્રાફિક જામ થઈ જતો હોય છે. ત્યાં સાંજે સબ્જી માર્કેટ લાગે છે. તેને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પ્રજાને ખાલી લુખ્ખા વચન અપાય છે, કોઈ સાંભળતુ નથી- ભરતસિંહભરતસિંહે જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં કોઈપણ ટ્રાફિક વ્યવસ્થા જળવાતી નથી. આ સમસ્યાનો ઉકેલ કોણ લાવશે? પ્રજાનું કોણ સાંભળશે? પ્રજા વતી સત્તા પર બેસો છો તો પ્રજાનું ધ્યાન તો આપો. ખાલી સત્તા પર આવવા માટે બધું પ્રજાને દેખાડે છે પણ એમાંનું કંઈ થતું નથી. બાઈ બાઈ ચાળણી જેવું છે. પબ્લિક આમથી તેમ ભટકી રહી છે. ખાલી પ્રજાને લુખ્ખા વચનો આપે છે પણ પ્રજાનું કોઈ સાંભળતું છે નહીં. આ સમસ્યા પ્રજા ક્યાં સુધી સહન કરશે? એનો અંત તો આવશે કે નહીં? કોઈ આખી ટર્મ પૂરી થઈ જાય, કોઈ પણ તમે જઈને પૂછો કે આ વ્યક્તિ કોણ છે તો પ્રજાએ એને જોયો જ નથી હોતો. ‘વસ્ત્રાલના નવા વિસ્તારોના આંતરિક રસ્તાઓ પર ધ્યાન આપવાની જરુર’વસ્ત્રાલના રહીશ જી. એસ. રાઠોડના જણાવ્યા અનુસાર, અનિરુદ્ધ સિંહ ઝાલા, પરેશ ભાઈ, ચંદ્રિકા બેન અને ગીતા બેન નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. કોઈપણ પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર તેમને મળી શકાય છે. દશામાતાના મંદિરથી મહાદેવ ફાર્મ સુધીના મુખ્ય રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે. પાણી પુરવઠામાં નોંધપાત્ર સુધારો થયો છે અને નવી લાઈનો નાખવામાં આવી રહી છે. નવા વિકસિત વિસ્તારોના આંતરિક રસ્તાઓ પર હજુ ધ્યાન આપવાની જરૂર છે. સાંજના સમયે થતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સમર્પિત 'શાકભાજી માર્કેટ' (સબ્જી મંડી) અને પાર્કિંગની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.
રાજ્યની 6 પ્રાઇવેટ સેન્ટર ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ME/ M. Tech. અભ્યાસક્રમોમાં ફક્ત GATE પરીક્ષાના માન્ય સ્કોર આધારિત ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં 25 ટકા એસીપીસી બેઠક પર આગામી 9 તારીખ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ કરી શકશે. વર્ષ 2025- 26માં 242 બેઠકોમાંથી માત્ર 25 જ બેઠકો ભરાઈ હતી. જ્યારે આ વર્ષે 358 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 358 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી માત્ર ક્વોલિફાઈંગ GATE સ્કોરના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. વિવિધ વિદ્યાશાખાઓમાં અંદાજે 358 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયામાં અત્યારે B.E/B. Tech માં પાસ થયેલા અથવા તો છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલા અને વર્ષ 2026માં પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. પરંતુ આવા વિદ્યાર્થીઓને પ્રવેશલાયકાત પૂર્ણ કરવાની શરતે ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 9 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ ચોઈસ ફિલિંગ અને વેરિફિકેશન 9 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ચાલવાનું છે. રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન સરકારી, અન્ય અનુદાનિત સંસ્થા તથા પ્રાઇવેટ સંસ્થાઓ ખાતે એમ. ઇ/ એમ. ટેક અભ્યાસક્રમની ઉપલબ્ધ બેઠકો પર ગત વર્ષની જેમ જ PGSET-GATE પરીક્ષાના આધારે ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. તેમજ પ્રવેશ કાર્યવાહીની મંજૂરી મળ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા મે-જૂન 2026માં શરૂ થશે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 2021 ચૂંટણીમાં પણ વડોદરાવાસીઓએ ભાજપને 78માંથી 69 બેઠકો જીતાડી હતી. પાંચ વર્ષ બાદ ફરી એકવાર કોર્પોરેશનની ચૂંટણી આવી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 4ના મતદારોની શું સમસ્યા છે અને તેઓની માગણીઓ કેવી હતી અને કેટલી સંતોષાઈ છે. તે જાણવા માટે ભાસ્કર પહોંચ્યું હતું. અહીંના મતદારો અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી વોર્ડની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ખોડિયારનગરમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો પરેશાનપ્રથમ અમે વોર્ડ નંબર-4નો સૌથી જાણીતો વિસ્તાર એટલે ખોડિયારનગરમાં પહોંચ્યા.જ્યાં ખોડિયાર માતાના મંદિર પરથી આ વિસ્તારનું નામ પડ્યું છે. આ વોર્ડમાં હવાઈ ક્ષેત્રે જાણીતું એરપોર્ટ આવેલું છે. સાથે ટ્રાન્પોર્ટેશન માટે લોકોની અવરજવર વધુ રહેતી હોય છે તેવા દરજીપુરા વિસ્તારમાં RTO કચેરી પણ આવે છે. આ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ પણ આવેલો છે. અહીંયા દરજીપુરા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે વડોદરામાં ખોડિયારનગર વિસ્તારમાં એરબસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા 2026 સુધીમાં પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 એરક્રાફટ તૈયાર કરવાનું લક્ષ્ય છે જે આ વિસ્તારમાં આવેલ છે. અમે ખોડિયારનગર વિસ્તારમાં પહોંચતા જ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરતા ભક્તો નજરે પડ્યા હતા. આ મેયરનો વોર્ડ છે અને વિકાસને લઈ લોકોના પ્રતિભાવો જાણ્યા જેમાં મુખ્યત્વે તમામ વોર્ડ કરતા અહીંયા સૌથી વધુ પાણીની સમસ્યા છે. સાથે ડ્રેનેજની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંયા આવેલા સ્લમ વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય તેવું જાણવા મળ્યું હતું. અહીંયા ટ્રાફિક સમસ્યા વધુ હોવાથી ખોડિયારનગર ચાર રસ્તા પર બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. આ વોર્ડ મેયરનો હોવા છતા વિકાસથી વંચિત રહ્યો- રૂપેશ સથવારાઆ અંગે સ્થાનિક નાગરિક રૂપેશ સથવારાએ જણાવ્યું હતું કે, ગત ટર્મમાં મેયર રહેલા પિન્કીબેન સોની આ જ વોર્ડમાં ચૂંટાયા હતા.મેયર હોવા છતાં પણ આ વોર્ડ વિકાસથી વંચિત રહ્યો છે. આ સાથે અન્ય કોર્પોરેટરો છે તેઓનું કામ પ્રશંસનીય છે. એમનો સપોર્ટ હતો પણ મેયર તરફથી જે પ્રતિભાવ મળવો જોઈએ અને આ વિકાસ થવો જોઈએ એ નથી થયો. સમસ્યા અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ તમે જોઈ શકો છો કે આખો રોડ છેલ્લા બે મહિનાથી બંધ છે અને ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી ડ્રેનેજની કામગીરી ચાલે છે, ખાડા ખોદાય છે, પાછું જૈસે થે થઈ જાય છે. અને પાણીની વાત કરીએ તો પાણી પૂરતા પ્રેશરથી આવતું નથી અને પૂરતું મળતું નથી. 'અહીં મંદિરનો સારો વિકાસ થયો પણ આસપાસના વિસ્તારનો ભૂલાઈ ગયો'સ્થાનિક બળદેવભાઈ શાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તાર ખોડિયારનગર છે અને અહીંયા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. અહીંયા મંદિરનો વિકાસ સારો થયો છે. પરંતુ આજુબાજુ જે વિકાસ થવો જોઈએ એટલો વિકાસ હજુ થયો નથી. અમારો વોર્ડ મેયરનો છે. મેયર બધું કામ પાસ કરે છે પરંતુ અધિકારીઓ કામગીરી દરમ્યાન હાજર રહેતા નથી અને વ્યવસ્થિત કામ થતું નથી. વધુમાં કહ્યું કે, અહીંયા થોડા થોડા અંતરે ખાડા થયા છે. એવું નથી કે આ લાઈન ખોદી છે, આ સાંઈનનગર વિભાગ-1માં કાંસ ખોદ્યો છે પણ પછી એના ઉપર જે મટીરીયલ સારી રીતે દબાવવું જોઈએ એ રોડનું હજુ કર્યું નથી. એ લોકોને બહુ અગવડ પડે છે. આ વિસ્તારમાં જે આ ખાડા ખોદી વળ્યા છે એનો જલ્દી નિકાલ થવો જોઈએ બાકી હજુ વરસાદ આવશે. તે પહેલા જો નિકાલ ના થયો તો લોકોને બહુ અગવડ પડશે. કારણ કે અહીંયા ટ્રાફિક બહુ જામ થાય છે. 'અમારા વોર્ડના મેયર હતા પણ મોટાભાગના લોકો તેને ઓળખતા નથી'અહીંના સ્થાનિક અને સામાજિક આગેવાન ડાહ્યાભાઈ રામાભાઈ પરમારે જણાવ્યું હતું કે, ખરેખર તો વિકાસ થવો જોઈએ એવું ઈચ્છી રહ્યા છીએ. તમામ વડોદરા શહેરની જનતા છેલ્લા 30 વર્ષથી ત્રાહિમામ થઈ ગઈ છે. ભાજપના રાજમાં ખરેખર વોર્ડ નંબર 4 માં હું સયાજી નગરીમાં ઊભો છું, તમે જોઈ શકો છો કોઈ સુવિધા નથી અને વોર્ડ નંબર 4 ના મેયર પિંકીબેન સોની અહીંયા જ રહે છે છતાં આજુબાજુવાળા પિંકીબેનને ઓળખતા નથી. ખરેખર ગાર્ડનમાં એમના નામના બાંકડા હોવા જોઈએ, એમના નામની કોઈ સુવિધા કરેલી હોવી જોઈએ પણ એવું કશું નથી. વધુમાં જણાવ્યું હતું કે, સ્લમ એરિયામાં જશો તો પાણીની બિલકુલ સુવિધા નથી, ડ્રેનેજના પાણી મિક્સ થાય છે. અમે મોરચા લઈને ગટરના પ્રોબ્લેમ, રોડ રસ્તાના પ્રોબ્લેમ, અત્યારે ચાર દિવસમાં ચામુંડા નગર અને દત્તનગરની વચ્ચે જે ગટરનું એટલું ગંદુ પાણી મિક્સ થઈને આવે છે, એ મેં કહ્યું હતું કે જો 15 દિવસમાં એની સુવિધા નહીં થાય તો મોરચો લઈને આવીશ. હજી સુધી કંઈ કામગીરી ચાલુ કરી નથી. વધૂમાં કહ્યું કે, આવનાર પાંચ વર્ષ ખરેખર તો પબ્લિક એટલી ત્રાહિમામ થઈ છે કે, બહિષ્કાર કરવા માટે તૈયાર છે કે ભાજપ સરકારનું કોઈ પણ આવશે કોર્પોરેશન લડવા માટે એને ભગાવીશું. એરિયામાં ઊભા જ નહીં રાખીએ એવું લોકોનું કહેવું છે અને તે જ થશે. કોઈ સારો ઉમેદવાર આવશે તેને મત આપીશું એવું જ બધાનું કહેવું છે. અહીં ચારેય કોર્પોરેટર ભાજપના છે, જે વિકાસ થવો જોઈએ તે નથી થયો- વીણાબેનસ્થાનિક વીણાબેન શર્માએ જણાવ્યું હતું કે, અહીંયા ભાજપની સત્તા છે, અહીંયા જે રીતે વિકાસ થવો જોઈએ તે પ્રમાણે થયો નથી. આખા વડોદરાની સ્થિતિ મુજબ અહીંયા પણ રોડની સ્થિતિ તેવીજ છે. અહીંયા ખોદકામ કરવામાં આવ્યું છે, બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે, તેમને મુશ્કેલી પડી રહી છે. આ વોર્ડમાં સ્લમ એરિયા (ઝૂંપડપટ્ટી) વિસ્તાર વધારે છે, પણ ગંદકી એટલી બધી છે કે તમને રોડ પર જ કચરો મળશે. ઘણી બધી જગ્યાએ ગાયોનું ખાણ પડ્યું હોય છે, રખડતી ગાયો જોવા મળે છે, જેના કારણે આવવા-જવામાં મુશ્કેલી થાય છે. ગટર લાઈનો ખુલ્લી છે. આટલી ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે અને લોકો બીમાર પડી રહ્યા છે. આ બાબતે તંત્રનું કોઈ જ ધ્યાન નથી. વધુમાં કહ્યું કે, આ વોર્ડના કોર્પોરેટર મેયર પિંકીબેન સોની છે જેઓ મેયર હોવા છતાં પણ અમે તેમને ક્યારેય જોયા નથી કે લોકોની મુલાકાત લીધી હોય કે તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું હોય.તેઓ ફક્ત જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ લોકોને મળે છે. બાકી અહીં કોઈ જ સફાઈ કે સુવિધા નથી. તમને ઠેર ઠેર ડ્રેનેજ લાઈનો ખુલ્લી જોવા મળશે. અમે ભાજપને જીતાડ્યો પણ અમારું કામ નથી કર્યું- સંજયભાઈસ્લમ વિસ્તારમાં રહેતા માછી સંજયભાઈએ જણાવ્યું હતું કે, આજવા રોડ પર આવેલ ચામુંડાનગર એકમાં અમે ઘણા વર્ષોથી રહીએ છીએ. અહીંયા અમારા ઘર પાસે જ છેલ્લા કેટલાય વર્ષોથી ગટરની સમસ્યા છે, વરસાદી કાંસની સમસ્યા છે અને રસ્તાની સમસ્યા છે. વારંવાર એની અરજી કરીએ છીએ, તંત્રને કહીએ છીએ, કોર્પોરેટરને કહીએ છીએ પણ કોઈ જોવા આવતું નથી. અહીંયા ગંદકીના છે અને અહીંયા નાના-નાના બાળકો રમે છે અને બીમાર થાય છે. અહીંયા આવવા -જવાનો રસ્તો પણ નથી અને કોર્પોરેશનના માણસો આવે છે પણ વાંધા-વચકા બતાવીને જતા રહે છે અને કામ કરવા તૈયાર થતા નથી. હવે ચૂંટણી આવી રહી છે એટલે અમારે વિચારવાનું રહ્યું કે હવે અમારે કોને વોટ આપવો? અમારું કામ ભાજપે આટલા વખતથી કંઈ કર્યું નથી એવું લાગી રહ્યું છે. અહીંયા રહેતા એક મહિલા માલાબેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ગટરની સમસ્યા છે. ચૂંટણી આવે એટલે અમને વોટ માટે યાદ કરે છે પછી કામ નીકળી જતા અહીંયા કોઈ આવતું નથી. હવે વોટ લેવા આવશે તો પહેલા સુવિધા પાછી વોટની વાત કરીશું. સ્લમ વિસ્તારમાં રહેતા બાબુભાઈને જણાવ્યું હતું કે, અમે અહીંયા વર્ષોથી રહીએ છીયે. અમે ભાજપને વોટ આપ્યા છે પરંતુ અમારી કોઈ વ્યવસ્થા કે સુવિધા આપી નથી. અહીંયા લાઇટનો થાંભલો છે પરંતુ લાઈટ નથી. રસ્તો છે પરંતુ રોડ નથી. વ્યવસ્થા નહીં થાય તો અમે બીજી જગ્યાએ જવું પડશે.વોટ તો અમે મોદીને જ આપવાના, પરંતુ સુવિધા નહીં મળે તો બીજાને આપીશું. ભાજપના લોકો ચૂંટાયા બાદ ગ્રાઉન્ડ પર દેખાયા જ નથી- હરીશ ઓડઆ અંગે વોર્ડ નંબર 4 કોંગ્રેસના પ્રમુખ હરીશ ઓડે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના અઢી વર્ષ જ્યારે વડોદરા શહેરના મેયરે વોર્ડ નંબર 4 માંથી આવતા હોય પણ વર્ષોથી જે વિકાસ છે એ વોર્ડ નંબર 4માં રૂંધાયા છે. તમે કોઈપણ નાગરિકને જઈને પૂછશો ને તો કોર્પોરેટર ચારે ચાર કોણ હતા એ પણ નહિ ઓળખી શકે કેમ કે આ લોકો ગ્રાઉન્ડ પર પહોચ્યા જ નથી. વધુમાં કહ્યું કે, અમારા વોર્ડની મુખ્ય સમસ્યા છે કે અહીંયા જ્યારે પણ નજીવો વરસાદ પડે તો પાણી બે અઢી ફૂટ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે, જેનું મુખ્ય કારણ છે અમારા વોર્ડ નંબર 4 ની વૈકુંઠ-2 ની પાછળ આવેલી કાંસ. આ લોકોએ જે કાંસ મોટા પ્રમાણમાં લાંબી અને પહોળી હતી એને ટૂંકી કરી અને એ કાંસને સાંકડી બનાવી દેવાથી પૂરની પરિસ્થિતિ આખા વોર્ડની અંદર સર્જાય છે. આ કારણ બતાવીને એ રોડની અંદર આખો રોડ ખોદી કાઢ્યો છે અને કાંસ નાખવાની શરૂઆત કરી છે. પણ જ્યારે મોટી કાંસ, કુદરતી કાંસ વર્ષોથી વોર્ડ નંબર 4 માંથી પસાર થતી હોય તો એને ચાલુ રાખી અને એને સાંકડી કરી અને આ લોકો બીજી પોતાના પૈસા કમાવવા માટે અને ખિસ્સા ભરવા માટે નવી કાંસનું રૂપાંતર કરે છે. આ કાર્ય કરવાથી ફક્તને ફક્ત તમારા ખિસ્સા ભરાશે પણ આ વોર્ડની અંદર જે પાણીની સમસ્યા છે, જે પૂરની સમસ્યા છે એ નીકળશે નહીં. વધુમાં કહ્યું કે, આ મેયરના વોર્ડમાં એટલી બધી ગંદકી છે કે તમે જોવો જે વિસ્તારમાં જશો એ જગ્યાએ તમને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળશે. મચ્છરોનો ત્રાસ એટલો બધો છે કે સામાન્ય નાગરિક જ્યારે અહીંયા કોઈ પણ જગ્યાએ ગાર્ડનમાં જતો હોય કે ચાલતા જતો હોય કે કોઈપણ જગ્યાએ બેઠો હોય તો 10 થી 15 મિનિટથી વધારે બેસવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. પહેલાના સમયમાં ધુમાડા લઈને લોકો ધુમાડા કરવા પણ કોર્પોરેશનમાંથી આવતા હતા પણ એ પણ હવે એવું ઔપચારિક જેવું થઈ ગયું છે કે હવે કોઈ દેખાતું છે નહીં અને મચ્છરોનો ત્રાસ પણ બહુ વધી ગયો છે. અમે સમસ્યાનું લોંગ ટાઈમ સોલ્યુસન શોધી કાઢ્યું છે- પ્રતીક જેઠવાઆ અંગે ભાજપના વોર્ડ ચારના પ્રમુખ પ્રતીક જેઠવાએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં પાણી અને ડ્રેનેજની સમસ્યા છે, જે સ્થાનિક સમસ્યાઓ છે. પાણીને લઈ અત્યારે કામગીરી ચાલી રહી છે. વોર્ડની અંદર ખોડિયાર નગર, સંગમ, વોર્ડ નંબર 4 ની ઓફિસની પાછળ આવેલ બુસ્ટરનું કામ અંતિમ તબક્કામાં છે. આ વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે અને લોકો વધુને રહ્યા છે. એટલે અમે લોંગ ટાઈમનું સોલ્યુશન શોધ્યું છે . જેથી અત્યારે પાણીની સમસ્યા છે એ ઝીરો થઈ જશે. ડ્રેનેજ અંગે જણાવ્યું કે, ડ્રેનેજના કામો તમે અત્યારે વોર્ડમાં ફરશો તો દરેક જગ્યાએ અત્યારે ડ્રેનેજના કામ ચાલુ છે. એટલે એ સમસ્યા પણ આપણે કાયમી અંત લાવવા માટેનું જ કામ ચાલુ છે. સ્લમ વિસ્તારમાં જે ગંદકીનો વિષય છે એ આપણે કોર્પોરેશન થકી જે કામ કરાવવાનું છે જે કામ ચાલુ જોવડાવીશું. આ વિસ્તારમાં મંત્રી મનીષબેન વકીલના પ્રયાસથી આપણે ત્રણ પોલીસ સ્ટેશન છે જેમાં હરણી, બાપોદ, વારસીયા પોલીસ મથક લાવ્યા છીએ. અશાંતધારાનો કાયદો પણ અહીંયા લાગુ કર્યો છે.
પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ અને સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત,109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8)નું લોકાર્પણ કરશે. આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. આ પણ વાંચો: 45 મિનિટમાં ધોલેરા-બુલેટ સ્પીડે ભાવનગર,11 ફાંટાવાળા એક્સપ્રેસ-વેનો ડ્રોન વીડિયો કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાં જ ગુજરાતમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ જશે. કેઇન્સ સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. જ્યારે માઇક્રોનમાં 2027 આવતા આવતા રોજ 10 લાખ ચિપ્સનું પ્રોડક્શન થવા લાગશે. આમ 70 લાખ જેટલા સેમિકન્ડક્ટર બનવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કૂલ 4 પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ સાણંદમાં અને એક ધોલેરામાં છે. આમ સાણંદમાં સીજી પાવર અને ધોલેરામાં ટાટા-PSMC પ્લાન્ટ કાર્યરત થવાના બાકી છે. 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણજ્યારે મહાવીર જયંતિ નિમિત્તે ગાંધીનગર પાસે આવેલા પવિત્ર કોબા તીર્થ ખાતે પીએમ મોદીના વરદ્ હસ્તે નવનિર્મિત 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કરાશે. આ મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓનો સંગ્રહ નથી, પરંતુ ભારતની આધ્યાત્મિક ચેતના અને અહિંસાના શાશ્વત મૂલ્યોને વિશ્વ સમક્ષ ઉજાગર કરતું એક જીવંત માધ્યમ બની રહેશે. મુખ્યમંત્રી અને ટોરેન્ટ ગ્રુપના માલિક સહિતના મહાનુભાવો રહેશે હાજરઆ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા(ટોરેન્ટ ગ્રુપના માલિક) સહિત દેશભરના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું વર્ષોનું તપ અને સ્વપ્ન જોડાયેલું છે. તેમણે છેલ્લા 60 વર્ષોમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે આશરે 2,00,000 કિલોમીટરની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે ભારતના વિવિધ પ્રદેશોમાંથી દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું છે. આ અમૂલ્ય ખજાનાને અત્યંત શ્રદ્ધાપૂર્વક આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. સમ્રાટ સંપ્રતિ અશોકના પૌત્ર હતાસમ્રાટ સંપ્રતિના નામ પરથી રાખવામાં આવેલ આ મ્યુઝિયમ જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરે છે. સમ્રાટ સંપ્રતિ અશોકના પૌત્ર હતા અને જૈન પરંપરામાં ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા, જે અહિંસા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને જૈન ધર્મના પ્રચારમાં તેમના કાર્ય માટે જાણીતા હતા. મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિભાગમહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સ્થિત, આ મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિભાગો છે, જે દરેક ભારતની સભ્યતા પરંપરાઓના અનન્ય પાસાઓને સમર્પિત છે. તે મુલાકાતીઓને સદીઓ જૂના જ્ઞાન અને વારસા સાથે જોડે છે. આ મ્યુઝિયમમાં સદીઓ જૂના દુર્લભ અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસા સંગ્રહને સાચવવામાં આવ્યો છે. જેમાં જટિલ રીતે બનાવેલા પથ્થર અને ધાતુના શિલ્પો, વિશાળ મંદિર પ્લેટો અને યંત્ર પ્લેટો, લઘુચિત્ર, ચાંદીના રથ, સિક્કા અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. આ બધા સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત થાય છે. વિશાળ રૂમમાં રાખવામાં આવેલા અને બે હજારથી વધુ દુર્લભ વસ્તુઓનો ખજાનો ધરાવતું, મ્યુઝિયમ મુલાકાતીઓને જૈન ધર્મના ઉત્ક્રાંતિ અને તેના ઊંડા સાંસ્કૃતિક પ્રભાવની સમજ મેળવવા માટે સક્ષમ બનાવે છે. સાણંદમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ, કેઇન્સ પ્લાન્ટની વિશેષતાઓઉત્પાદન ક્ષમતા: આ પ્લાન્ટમાં દરરોજ અંદાજે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે.OSAT સુવિધા: આ પ્લાન્ટ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) તરીકે કાર્ય કરશે, જ્યાં સેમિકન્ડક્ટર ચિપ્સનું અત્યાધુનિક ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે.રોજગારી અને વિકાસ: માઇક્રોન બાદ આ બીજો મોટો પ્લાન્ટ સાણંદમાં શરૂ થવાથી સ્થાનિક રોજગારીમાં મોટો ઉછાળો આવશે અને આનુષંગિક ઉદ્યોગોને વેગ મળશે. વિશ્વમાં બનતી આઠમાંથી પાંચ પ્રકારની ચિપ આપણે ત્યાં બનશે થોડા સમય પહેલા કેન્દ્ર સરકારમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો, 1962ની સાલથી ભારત સેમિકન્ડક્ટર ઉદ્યોગ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું છે, આજે આપણે સફળ થઈ રહ્યા છીએ. 2029 સુધીમાં ભારતની ગણતરી ટોચના પાંચ સેમિકન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ દેશોમાં થશે. વૈશ્વિક રીતે જોઈએ તો કુલ આઠ પ્રકારની કેટેગરીનાં સાધનોમાં સેમિકન્ડક્ટર ચિપ વપરાય છે. એમાંથી પાંચ કેટગરીની ચિપ ભારતમાં બને એવું આયોજન છે. એક મહિના પહેલા જ મોદીએ દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતીગુજરાત હવે સેમિકન્ડકટરનું હબ બનવા આગળ વધ્યું છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ પીએમ મોદીએ સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP(એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસેલિટીનો પ્રારંભ કરાવી દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધની અસર ટૂરિસ્ટોની વેકેશન ટૂર પર પડવાની છે. આ વખતે ઉનાળાના વેકેશનમાં ગુજરાતીઓ ઇરાનની નજીક આવેલા દુબઇ અને તુર્કીને બદલે સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, માલદિવ્સ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ જવાનું પસંદ કરશે. હાલ દુબઈનો તમામ ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો છે. જ્યારે યુરોપ હરવા ફરવા જવામાં પણ લોકો થોડો સંકોચ અનુભવે છે. આ ઉપરાંત ડોમેસ્ટિકમાં નોર્થ ઈસ્ટ ટુરિસ્ટો માટે ફેવરિટ રહેશે. જેમાં હિમાચલ પ્રદેશ, સિક્કિમ, જમ્મુ - કાશ્મીર, દાર્જિલિંગ, લેહ લદ્દાખનો સમાવેશ થાય છે. આ વખતે પણ સમર વેકેશન ટૂર 15 ટકા મોંઘી બનશે. નોર્થ ઈસ્ટ ટુરિસ્ટો માટે ફેવરિટ રાજકોટમાં ક્લિક ટુ ટ્રિપ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલક પિયુષ જીવરાજાનીએ જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશનમાં લોકો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર પર જશે. ડોમેસ્ટિકમાં આ વખતે નોર્થ ઈસ્ટ ટુરિસ્ટો માટે ફેવરિટ રહેશે. જેમાં હિમાચલ પ્રદેશ, સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, દાર્જિલિંગ, લેહ લદ્દાખ, ભૂતાન અને નેપાળ જવા માટે ટ્રાફિક વધુ જોવા મળશે. 'ઈરાનની આસપાસ આવેલા દેશો છે ત્યાં જવાનું ટુરિસ્ટો ટાળશે'તેને વધુમાં કહ્યું કે, જ્યારે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે ઇન્ટરનેશનલ સેક્ટરમાં અસર પહોંચશે. દુબઈ અને તુર્કી કે જે ઈરાનની આસપાસ આવેલા દેશો છે ત્યાં જવાનું ટુરિસ્ટો ટાળશે. આ ઉપરાંત યુરોપ જવા માટે પણ જે ટુરીસ્ટો ઉત્સુક છે તેઓ પણ એપ્રિલ અને મે મા જવાનું પ્લાનિંગ બનાવી શકે છે. જો યુરોપમાં ફ્લાઇટ શિડ્યુલમાં કોઈ ફેરફાર થાય તો ટુરિસ્ટોને અસર થાય તેમ છે. જોકે વેકેશનમાં ત્યાં જવું સુરક્ષિત છે. 'દુબઈનો ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો છે'પિયુષ જીવરાજાનીએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ પ્લેસમાં ટુરિસ્ટો આ વખતે સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, માલદિવ્સ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ જવાનું પસંદ કરશે. કારણ કે આ દેશો ઈરાનની વિરુદ્ધ દિશામાં છે. જેથી ત્યાં જવું સુરક્ષિત અને આનંદદાયક રહેશે. આ સાથે જ તેમને જણાવ્યું હતું કે, હાલ દુબઈ જવા માટે ટુરિસ્ટો તૈયાર થઈ રહ્યા નથી ત્યારે તેનો તમામ ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો છે. 'ટૂર પેકેજમાં 10થી 15 ટકાનો વધારો' આ ઉપરાંત તેમણે વેકેશન ટૂરના ભાડામાં વધારા બાબતે જણાવ્યું હતું કે, ફ્યુઅલ અને ડોલરના રેઈટમાં ફેરફારને લીધે ઇન્ટરનેશનલ ટૂર મોંઘી થઈ શકે તેમ છે. ડોલરની સામે રૂપિયો નીચો જતા ખર્ચમાં વધારો થશે. આ ઉપરાંત ફ્યુઅલ રેઈટ વધશે તો ફ્લાઇટના ભાડામાં પણ વધારો થશે. આ વખતે ટૂર પેકેજમાં 10થી 15 ટકાનો વધારો થશે. જેની અસર ટૂરિસ્ટોને થશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
પૈસો સે ખુશીયા નહીં ખરીદ સકતે.....યે ડાયલોગ સિર્ફ વો લોગ મારતે હૈ, જીન કે પાસ પૈસે હોતે હી નહીં.... વેબ સિરીઝ ફર્ઝીમાં એક્ટર શાહીદ કપૂરના મોંઢે બોલાયેલો આ ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો છે. આમ તો એવું કહેવાય છે કે ફિલ્મો અને વેબ સિરીઝ સમાજ જીવનનું પ્રતિબિંબ હોય છે, લોકો તેમાંથી જોઇને ઘણું શીખતા હોય છે. જો કે આપણી આસપાસમાં જ કેટલાક એવા લોકોય હોય છે જે તેમાંથી સારી બાબત શીખવાને બદલે ગોરખધંધા શીખે છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાંથી 2.20 કરોડની નકલી ચલણી નોટ સાથે ઝડપાયેલા પ્રદીપ ગુરૂ અને તેના સાગરિતોના કિસ્સામાં પણ આવું જ થયું છે. આ બનાવટી ચલણી નોટો છાપવાના માસ્ટર માઇન્ડ ગણાતાં મુકેશ ઠુમ્મરને શાહીદ કપૂરની ફિલ્મ ફર્ઝી જોઇને નકલી નોટ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ ફિલ્મ તેણે 1-2 વાર નહીં પણ 3 વખત જોઇ હતી. તેણે પોલીસને જણાવ્યું કે આ ફિલ્મ બનાવટી નોટ પર આધારિત છે. પ્રદીપના અંગત ખર્ચ માટે પૈસા વપરાવાના હતાપૂછપરછમાં આરોપીઓએ જણાવ્યા મુજબ તેઓ પ્રદીપના ફાઉન્ડેશનના એકાઉન્ટમાં રકમ જમા કરાવવાના હતા પરંતુ આ બાબતે કોઇ સજ્જડ પુરાવો હાથ લાગ્યો નથી. આ રકમ સંસ્થાના એકાઉન્ટમાં નહીં પણ પ્રદીપ ગુરુના અંગત ખર્ચમાં વાપરવાની હોવાની હકીકત પોલીસને જાણવા મળી છે. એટલું જ નહીં પરંતુ પ્રદીપ પોતાને USA જવામાં સરળતા રહે તે માટે અન્ય દેશના પ્રવાસે ગયો હતો. હકીકતમાં પ્રિન્ટર મશીન ખરીદવા માટે પ્રદિપ ગુરુ ચીનમાં એજન્ટને મળવા ગયો હતો. 70 લાખમાં નકલી નોટ વેચવાના હતાઆરોપીઓ 2.20 કરોડથી વધુની નકલી નોટો 70 લાખ રૂપિયામાં વેચી દેવાની પેરવીમાં હતા. આરોપીઓએ આ અગાઉ ચલણી નોટો બજારમાં ફરતી મૂકી છે કે નહીં તે દિશામાં શહેર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આરોપીઓએ અગાઉ 5 લાખની નકલી નોટ બજારમાં ફરતી મૂકી હતી. જો કે આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલા કાગળ તથા નકલી નોટોની સરખામણીનો તાળો બેસતો હોવાથી પોલીસ માથું ખંજવાળી રહી છે. શું બાતમી મળી હતી?કોન્સ્ટેબલ કૌશિકકુમાર કાંતિભાઇને બાતમી મળી હતી કે કેટલાક લોકો ભારતીય ચલણની બનાવટી નોટો લઇ સુરતથી આવી અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં કોઇની સાથે ડિલ કરવાના છે અથવા તો આ નોટો સગેવગે કરવા માટે ફરી રહ્યાં છે. પોલીસની જુદી-જુદી ટીમ અમરાઇવાડી પહોંચીઆ બાતમી મળ્યા બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ સરકારી વાહન તેમજ ખાનગી વાહનમાં 18 માર્ચ, 2026ના રોજ બપોરે 2 વાગ્યે શહેર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી અમરાઇવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા નીકળી હતી. પેટ્રોલિંગ ચાલુ હતું તે દરમિયાન બાતમીવાળી ફોર્ચ્યુનર કાર અમરાઇવાડી ટોરેન્ટ પાવર સામેના ભાગમાં મેટ્રો પિલ્લર નં. 29-30ની વચ્ચે દેખાઇ હતી. જેથી પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. જેમાં 5 પુરુષ અને 1 મહિલા હતી. તેમની પાસે બે બેગોમાં 500ના દરની નકલી નોટો મળી હતી. રસ્તા પર લોકોનું ટોળું ભેગું થઇ ગયુંરસ્તા પર પોલીસ ફોર્ચ્યુનર કારને અટકાવીને તપાસ કરતી હતી એ સમયે કુતૂહલવશ રાહદારીઓ અને વાહનચાલકો ભેગાં થઇ ગયા હતા. જેથી પોલીસનો કાફલો આરોપીઓ અને તેમની કારને લઇ ત્યાંથી નીકળીને અમરાઇવાડી ન્યૂ કોટન મિલ ચોકી ખાતે પહોંચ્યો હતો પરંતુ ચોકીના દરવાજે તાળું હતું. નાગરવેલ પોલીસ ચોકી પહોંચ્યાપોલીસને નકલી નોટોની ગણતરી કરવાની હતી એટલે આખો કાફલો નાગરવેલ પોલીસ ચોકી પહોંચ્યો હતો. જ્યાં પ્રાથમિક ચકાસણી કરતાં કાળા રંગની બેગપેક તથા સફેદ રંગના મીણિયાના થેલામાં 500ના દરની નકલી નોટોના બંડલોની 24 રીમો હતી. એક રીમમાં કુલ 10 બંડલ હતા. એક બેગપેકમાં કુલ 240 બંડલ હતા. એક આરોપી રફૂચક્કર થઇ ગયો હતોએક આરોપી ભરત કાકડિયા લઘુશંકા કરવા ગયો હતો. દરમિયાનમાં પોલીસે છાપો મારીને બીજા આરોપીઓને ઝડપી લીધા હતા. આ સમયે ભરત પોલીસને જોઇ જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો અને ફરતો ફરતો સીટીએમ ચાર રસ્તા બાજુ ગયો હતો. જો કે પોલીસને આરોપીઓની પૂછપરછમાં ભરત અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તેને શોધવા નીકળ્યો હતો અને તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. કેમ આ કારસ્તાન કર્યું?પોલીસે આરોપીઓની ફેરવી-ફેરવીને પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે આ આરોપીઓ પૈકીનો પ્રદીપ જોટંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુ સુરતના કામરેજ-કીમ વચ્ચે આવેલા ટોલનાકા પાસે ધોરણ પારડી ગામે સત્યમ યોગ ફાઉન્ડેશનના નામથી NGO ચલાવે છે. જેમાં યોગ દ્રારા લોકોના અસાધ્ય રોગો દૂર થાય તે માટે કામ કરાય છે. આશ્રમમાં રોગ મટાડવા માટે આવતાં દર્દીઓ માટે રહેવાની કોઇ સગવડ નહોતી. તેમ જ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવતી આ કામગીરીમાં ભંડોળ ઓછું પડતું હતું. કડકાઇ દૂર કરવા નોટો છાપવાનું નક્કી કર્યુંફાઉન્ડેશનની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે આરોપી ભરત વાલજીભાઇ કાકડિયા તથા અન્ય આરોપીઓએ ત્રણેક મહિના પહેલા સાથે મળીને નકલી નોટો છાપવાનું નક્કી કર્યું હતું. મશીનરી ખરીદવા પ્રદીપ ગુરુ ચીન પહોંચ્યોબનાવટી ચલણી નોટો છાપવા માટે કલર પ્રિન્ટર મશીન, કટર મશીન, કાગળો ખરીદવા પડે તેમ હતા. જેના માટે તમામ આરોપીઓએ ભેગાં મળીને ભંડોળ ભેગું કર્યું. આ ભંડોળમાંથી RBI તથા ભારત લખેલા ગ્રીન કલરના સિક્યોરિટી થ્રેડ પેપર માટે વેબસાઇટ પર ચાઇનીઝ એજન્ટનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ અલી પે નામના પેમેન્ટ ગેટ વે મારફતે નાણાં મોકલી આ સિક્યોરિટી થ્રેડ પેપર મંગાવ્યા હતા. સાથે સાથે પોલીસને જાણવા મળ્યું હતું કે મશીનરી ખરીદવા માટે ચીન ગયેલા પ્રદીપ ગુરૂએ એજન્ટ સાથે બેઠક કરીને જુદા-જુદા 8 પાર્સલો એર કાર્ગો મારફતે ગુજરાત મંગાવ્યા હતા. જેથી આરોપીઓએ 8થી વધુ પાર્સલો મંગાવ્યા હતા કે નહીં તેની તપાસ કરવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ સત્તાવાળાઓ પાસે વિગતો માગવાની છે. મશીનો સહિતનું મટિરિયલ મુકેશ ઠુમ્મરને ત્યાં મૂકવાનું નક્કી કર્યુંચીનથી આવેલાં મશીન સહિતનું મટિરિયલ આરોપી મુકેશ ઠુમ્મરના સુરત સ્થિત ઘરે મૂકવામાં આવ્યું હતું અને ત્યાં જ નોટો છાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુકેશ પોતે ફોટોશોપ એડિટિંગનું કામ જાણતો હોવાથી તમામ આરોપીઓએ 3 મહિના સુધી આ કામગીરી કરીને 500ના દરની નકલી નોટો છાપી હતી. પોલીસ ગણતરી કરતાં થાકી ગઇઆટલાં મોટાં જથ્થામાં બનાવટી ચલણી ઝડપાઇ હતી. તેને સિરિયલ અને સિરીઝ પ્રમાણે વર્ણન કરી ગણતરી કરવામાં આવે તો ખૂબ જ સમય જાય. પોલીસ આ પ્રક્રિયામાં ઘણાં લાંબા સમયથી વ્યસ્ત હોવાથી થાકી ગઇ હતી. છેવટે મશીનથી નોટો ગણવામાં આવી હતી બાદમાં તમામ નોટોને પ્લાસ્ટિકના પારદર્શક ડબ્બામાં મૂકીને સીલ કરાઇ હતી. PSI ફરિયાદી બન્યાંઆ અંગે સબ ઇન્સ્પેક્ટર ડી.એમ.સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા નાયબ પોલીસ કમિશનર અજિત રાજિયનના માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.જાડેજાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યાં હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો સુરતમાં બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
રાતનો દોઢ વાગ્યો હતો. ફેબ્રુઆરીની ગુલાબી ઠંડીમાં આખું વીસનગર ઘોર નિંદ્રામાં હતું પણ ઉમતા ગામના દિગંબર જૈન દેરાસરમાં કંઇક અશુભ બનવાનું હતું. અચાનક અંધારામાંથી 7થી 8 લૂંટારૂં ત્રાટક્યા અને ચોકીદારો પર હુમલો કર્યો. લૂંટારુઓનો ઇરાદો સોનું કે રોકડની લૂંટ કરવાનો નહોતો પણ જમીનમાંથી ખોદકામ દરમિયાન મળેલી 1500 વર્ષ જૂની અને 90 કિલો વજનની સફેદ આરસની ચક્રેશ્વરી માતાની કરોડો રૂપિયાની મૂર્તિ ઉઠાવી જવાનો હતો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ બાદ SITની તપાસ શરૂ થઇ પણ પોલીસ પાસે એવી કોઇ મહત્વની કડી નહોતી કે જેથી લૂંટારૂંઓ પકડાઇ શકે. લૂંટારૂંઓ એટલા ચાલાક હતા કે તેમણે આખી ઘટના દરમિયાન મોબાઇલ બંધ રાખ્યો હતો જેથી પકડાઇ ન જવાય પણ કહેવત છે ને કે પાપનો ઘડો ક્યારેક તો ભરાય જ છે. આ કેસમાં પણ આવું જ થયું. ફક્ત 2 સેકન્ડ માટે કંઇક એવું બન્યું કે પોલીસ લૂંટારૂઓ સુધી પહોંચી ગઇ. ગુજરાત પોલીસ અને રાજસ્થાનની ગેંગ વચ્ચે ફિલ્મી ઢબે થયેલા પકડદાવ, ખાડામાં પડેલી પોલીસની ગાડી અને જીવના જોખમે પાર પડેલા આ ઓપરેશનની વાત વાંચો ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં. મહેસાણા જિલ્લાના વીસનગરથી આઠેક કિલોમીટર દૂર ખેરાલુ રોડ પર ઉમતા ગામ આવેલું છે. ગામના રાજગઢી ટેકરા પર વર્ષ 2001માં ખોદકામ થઇ રહ્યું હતું. જમીનથી ઊંડે સુધી થઇ રહેલા ખોદકામ દરમિયાન અચાનક કોઇ વસ્તુ સાથે અથડાવાનો અવાજ આવ્યો. ખોદકામ કરી રહેલા શ્રમિકો, તેના સુપરવાઇઝર અને ત્યાં હાજર રહેલા બીજા બધા લોકો નવાઇ પામ્યા. તરત જ માટી ઉલેચીને જોયું તો એક મૂર્તિ મળી. જેના પછી ત્યાં વધુ ખોદકામ કરાયું તો એક પછી એક પ્રાચીન મૂર્તિઓ નીકળવા લાગી. જેમ-જેમ ખોદકામ આગળ વધતું હતું તેમ તેમ મૂર્તિઓ નીકળતી હતી. જોતજોતામાં આ મૂર્તિઓની સંખ્યા 74 પર પહોંચી ગઇ. આ બધી મૂર્તિઓ જૈન ધર્મની હતી એટલે એવો નિર્ણય લેવાયો કે તે જૈન સમાજના લોકોને આપી દેવી. આમાંથી 16 મૂર્તિઓ શ્વેતાંબર જૈન સમાજને અપાઇ જ્યારે બાકીની 58 મૂર્તિઓ દિગંબર જૈન સમાજને સોંપાઇ. દિગંબર જૈન સમાજે વીસનગર-ખેરાલુ રોડ પર આદિનાથ દિગંબર જૈન દેરાસર બનાવી 6 જૂન, 2011ના દિવસે આ મૂર્તિઓની સ્થાપના કરી હતી. આ મૂર્તિમાં એક અનોખી મૂર્તિ હતી. જેનું નામ હતું ચક્રેશ્વરી માતાની મૂર્તિ. અંદાજે 1500 વર્ષ જૂની દોઢથી બે ફૂટની આ મૂર્તિ ઐતિહાસિક તો હતી જ સાથોસાથ તેની કિંમત પણ કરોડો રૂપિયાની હોવાનું મનાતું હતું. દેરાસરમાં કિંમતી મૂર્તિઓ હોવાથી તેની સુરક્ષાનો પણ પ્રશ્ન હતો એટલે રખેવાળી કરવા માટે એક નહીં પણ 2-2 ચોકીદાર રાખવાનું નક્કી કરાયું હતું. જેના ભાગરૂપે દિલીપસિંહ રણજીતસિંહ વાઘેલા અને જતાજી પાધાજી ઠાકોર નામના 2 ચોકીદારની નિમણુક કરાઇ હતી. બન્ને ચોકીદાર દરરોજ રાતે ચોકી પહેરો કરવા માટે દેરાસર જતા હતા. તારીખ: 19 ફેબ્રુઆરી, 2012સમયઃ રાત્રે 1થી 1:30 વાગ્યે આ રાત્રે પણ દિલીપસિંહ અને જતાજી નિત્યક્રમ પ્રમાણે સમયસર દેરાસર નોકરી કરવા માટે પહોંચી ગયા હતા. શિયાળાની વિદાયના દિવસો ગણાઇ રહ્યાં હતા પણ હજુ થોડી-થોડી ઠંડી હતી. રાત જામી ચૂકી હતી. આવામાં બન્ને ચોકીદાર દેરાસરના પ્રાંગણમાં ખાટલામાં સૂતાં હતા. અચાનક ક્યાંકથી 7થી 8 જણાં ત્રાટક્યાં. ખાટલામાં સૂતેલાં ચોકીદારોએ ઓઢેલા ગોદડાંથી જ તેમને દબાવી દીધા અને તેમના પર તૂટી પડ્યાં. ગડદાપાટુ અને લાકડાંના ધોકાથી માર મારવા લાગ્યા. એક ચોકીદારને જમણી આંખ નીચે, બન્ને પગ પર અને બરડામાં ડાબા પડખા ઉપર ફટકાર્યો હતો. જ્યારે બીજાને ડાબી આંખ નીચે, પેટ ઉપર, ડાબા પગના થાપા ઉપર અને દાંત ઉપર માર માર્યો હતો. અચાનક થયેલા હુમલાથી બન્ને ચોકીદાર હતપ્રભ થઇ ગયા. વળી પોતે 2 જ જણા હતા જ્યારે સામે 7થી 8 લૂંટારૂં ટોળું હતું એટલે પ્રતિકાર કરવાનો કોઇ પ્રશ્ન જ નહોતો રહેતો અને એવી કોઇ ક્ષમતા પણ નહોતી. તેમણે ચીસો પાડતાં-પાડતાં લૂંટારૂઓનો માર સહન કર્યો. બન્નેને માર માર્યા બાદ લૂંટારૂંઓએ પોતાની પાસે રહેલા લાંબા રૂમાલથી બન્ને ચોકીદારના હાથ-પગ અને મોઢું બાંધી દીધા હતા અને તેમને એક રૂમમાં પૂરી દીધા હતા. જેના પછી ચક્રેશ્વરી માતાજીના મંદિરના બંધ દરવાજાનો નકૂચો આરીથી તોડ્યો હતો અને તેમાં ઘૂસીમાં માતાજીની સફેદ આરસની અમૂલ્ય પ્રાચીન મૂર્તિની લૂંટ કરી હતી. આ મૂર્તિનું વજન અંદાજે 90 કિલો હતું. કોઇ એકલ દોકલ લૂંટારૂં તેને ઊંચકી શકે તેમ નહોતો એટલે બધાએ ભેગા મળીને મૂર્તિ ઊંચકી અને દેરાસરના પ્રાંગણમાંથી બહાર લઇ ગયા.લૂંટારા જ્યારે ભાગ્યા ત્યારે ચોકીદારનો મોબાઇલ પણ સાથે લઇને ભાગ્યા હતા. જેથી તેઓ કોઇને જાણ પણ ન કરી શકે. સ્વભાવિક છે કે આટલી વજનદાર મૂર્તિ લઇ જવા માટે લૂંટારૂંઓ કોઇ ભારે વાહન લઇને જ આવ્યા હશે. લૂંટારૂં તો ભાગી ગયા પણ અહીં મારથી કણસતા બન્ને ચોકીદાર નિઃસહાય હાલતમાં હતા. આસપાસથી કોઇ મદદ મળે તેમ નહોતી. છૂટવાની ઘણી કોશિષ કરી પણ તે તમામ નિષ્ફળ રહી એટલે હવે રાત કાઢવા સિવાય તેમની પાસે કોઇ છૂટકો નહોતો. વહેલી સવારની કિરણ બન્ને ચોકીદાર માટે આશાની કિરણ બનીને આવી. દેરાસરના સાધ્વી શકુંતલાબેન ત્યાં આવ્યા અને બન્નેની હાલત જોઇ તેમને કંઇક અજુગતું થયાની શંકા જાગી. તેમણે તરત જ બન્ને ચોકીદારને છોડ્યા અને આખી ઘટના વિશે માહિતી મેળવી હતી બાદમાં બન્નેને 108 મારફતે વીસનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા. જૈન દેરાસરમાંથી અતિ પ્રાચીન અને કિંમતી મૂર્તિની લૂંટ થવાની ઘટનાએ આખા વીસનગર પંથકમાં ભારે ચકચાર મચાવી હતી. આખા તાલુકામાં આ પ્રકારની પહેલી ઘટના હતી. દેરાસરના મુનિ નિર્ભયસાગરજીએ પોલીસને જાણ કરી હતી. જેથી તત્કાલીન જિલ્લા પોલીસવડા આર.એસ.સવાણી, DySP જે.કે.રાઠોડ, PI એસ.વી.સગર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લૂંટ અંગે વીસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે તપાસ તો શરૂ કરી તો ખૂલ્યું કે લૂંટારૂંઓ ફક્ત માતાજીની મૂર્તિની જ લૂંટ કરી ગયા છે. અન્ય આભૂષણો કે રોકડને હાથ પણ નથી લગાવ્યો. જો કે તે સમયે આજના સમય જેટલા CCTV નહીં હોવાથી પોલીસને કંઇ મહત્વની કડી મળી નહોતી. આ તરફ માતાજીની મૂર્તિ ચોરાઇ જતાં આદિનાથ દિગંબર જૈન દેરાસરના આચાર્ય મુનિ નિર્ભયસાગરજીએ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. જૈન મુનિએ ઉપવાસ પર ઉતરતા હાહાકાર મચી ગયો હતો અને સરકાર પણ એક્શનમાં આવી હતી. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે આ ઘટનાની તપાસ માટે ખાસ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે તત્કાલીન પોલીસવડા ચિત્તરંજનસિંઘે 2 IG સહિતની ટીમની રચના કરી હતી. જેમાં તે વખતે CID ક્રાઇમના IG બી.એસ.ઝેબલિયા અને મહેસાણા રેન્જ IG એ.કે.શર્મા તથા DSP આર.એસ.સવાણી તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI જે.ડી.પુરોહિતનો સમાવેશ કરાયો હતો. શરૂઆતમાં તત્કાલીન PI જે.ડી.પુરોહિતે તપાસનો દોર સંભાળ્યો હતો. તેમણે દેરાસરમાં ચોકીદાર તરીકે નોકરી કરતાં બન્ને ચોકીદારોની પૂછપરછ કરી હતી. પોલીસને ફક્ત એટલી ખબર પડી હતી કે જ્યારે લૂંટારૂંઓ બન્ને ચોકીદારને માર મારતા હતા ત્યારે હિન્દી ભાષામાં વાતો કરતા હતા. આના પરથી પોલીસને લાગ્યું કે નક્કી આ ગેંગ ગુજરાત બહારની હોવી જોઇએ. વળી ફક્ત મૂર્તિની જ લૂંટ કરી હોવાથી પોલીસને એ પણ આશંકા હતી કે આમાં એન્ટિક વસ્તુઓ લૂંટી લેતી મોટી ગેંગની સંડોવણી હશે. પોલીસે અનુમાન કર્યું કે ગુજરાત નજીક એક માત્ર રાજસ્થાન પડે બાકી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા બીજા રાજ્યો દૂર હોવાથી લૂંટારૂં ગેંગ ત્યાંની હોવાની શક્યતા ઓછી હતી. એટલે પોલીસે રાજસ્થાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું પરંતુ તેના આધારે પણ લૂંટારૂંને શોધવા પડકારજનક હતા. જો કે પોલીસે હાર માન્યા વગર આટલી વિગતોને ધ્યાનમાં લઇને જૂની પદ્ધતિ પ્રમાણે તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ ડેટાના આધારે આગળ વધવાનું નક્કી કર્યું. PI પુરોહિતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સેલના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ દિલીપ ઠાકોરની મદદ લીધી હતી. તેમણે મોબાઇલ કંપનીઓ પાસેથી દેરાસરની આસપાસના 100 કિલોમીટરની ત્રિજ્યામાં એટલે કે દાંતા, અંબાજી અને રાજસ્થાનની બોર્ડર સુધીના ટાવરના ડેટા મેળવ્યા હતા. બીજીબાજુ બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા. જો કે એકથી દોઢ મહિના સુધી પોલીસના હાથ ખાલી જ રહ્યા હતા. અંતે દોઢ મહિના બાદ એવું તો શું બન્યું કે પોલીસને સફળતા મળી.... આ સવાલનો જવાબ જાણવા જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
ભારતીય સિંધુ સભા સ્થાપના અને સમર્પણ દિવસ નિમિત્તે રામનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ કાર્યક્રમમાં, ૨૯ માર્ચ, ૧૯૭૯ ના રોજ સ્થાપિત ભારતીય સિંધુ સભાના સ્થાપના દિવસની ઉજવણી સભ્યો દ્વારા સમર્પણ સમારોહ સાથે કરવામાં આવી હતી. સભાના પ્રમુખ ભગવાનદાસજીએ જણાવ્યું હતું કે બંધારણમાં સિંધી ભાષાને માન્યતા મળતા ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. આ ઉપરાંત, ભારતીય સિંધુ સભાના ઝાંખીમાં, ચેટીચાંદના અવસરે, કુલદેવી માતા હિંગળાજ જી ને પ્રથમ સ્થાન મળ્યું હતું અને સિંધુ દર્શન યાત્રા અને ભાષાના વિકાસ માટે ચલાવવામાં આવતા વર્ગો અને સભ્યપદ અભિયાન વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
સુરતમાં વસતા સૌરાષ્ટ્રના વિવિધ ગામોના લેઉઆ પટેલ સમસ્ત ગેવરીયા પરિવારનું સ્નેહમિલન મોટા વરાછા ખાતે યોજાયું હતું. ગેવરીયા પરિવાર સંગઠનની વિશેષતા એ છે કે પરિવારના દરેક સભ્યોને સરખી જવાબદારી ગણવામાં આવે છે કોઈ પ્રમુખ કે હોદ્દેદારો નિમવામાં આવ્યા નથી. વડીલોના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ સમગ્ર વ્યવસ્થા સંભાળે છે. પરિવારના આગેવાનોએ નવી વ્યસન અને અંધશ્રદ્ધા તેમજ કુરિવાજોથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું હતું. કેટલાક યુવાનોએ વ્યસન છોડી દેવા સંકલ્પ કર્યો હતો તો અચાનક જેટલા યુવાનોએ આગળના કાર્યક્રમમાં વ્યસન મુક્તિનો સંકલ્પ કરી વ્યસન મુક્ત થયા છે તેઓને સન્માનિત કરાયા હતા. વડીલો એ પણ જણાવ્યું હતું કે યુવાનો માટે વ્યસન છે દુશ્મન છે કેવી રીતે મોબાઈલ પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે પણ નુકસાનકારક છે. મોબાઈલ નો ઉપયોગ ટેકનોલોજી અભ્યાસ અને રિચર્સ માટે ખૂબ જરૂરી છે. પરંતુ બિનજરૂરી બાબતો માટે સમય વેડફો તો તે વિકાસને રૂંધે છે. માત્ર બાળકો જ નહીં યુવાનો, વડીલો, મહિલાઓએ પણઆ બાબત ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. જુના સમયના કુરિવાજો તો દૂર થઈ ગયા છે પરંતુ નવા સમયના કેટલાક રિવાજો અને દેખાદેખીમાં થતા પ્રસંગો પણ સામાજિક રીતે અને આર્થિક રીતે મુશ્કેલી ઊભી કરે છે તેનાથી પણ દૂર રહેવું જોઈએ. હંમેશા સાત્વિક વિચારો રાખવા જોઇએ. પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્ય મુનિ ડૉ. મદન કુમારજીનું વેસુ પુણ્યભૂમિ એપાર્ટમેન્ટમાં આગમન થયું હતું. અહીં ચાર દિવસનો કાર્યક્રમ રહેશે અને આગામી 31 માર્ચ ના રોજ ભગવાન મહાવીરનો 2625મો જન્મ કલ્યાણક મહોત્સવ પણ જ ઉજવવામાં આવશે. પુણ્યભૂમિ એપાર્ટમેન્ટના પ્રાંગણમાં ધર્મસભાને સંબોધિત કરતા મુનિએ જણાવ્યું હતું કે આજે દરેક ચિંતનશીલ વ્યક્તિનું ચિંતન એ હોય છે કે જીવનને સફળ કેવી રીતે બનાવવું. આ સંદર્ભમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે સમયને ઓળખો. જે વ્યક્તિ સમયને ઓળખે છે તે પંડિત છે. જે વ્યક્તિ સમયનું મૂલ્યાંકન કરી જાણે છે, તે પોતાના જીવનને સફળ બનાવી શકે છે. સમયને ઓળખવાનો અર્થ છે સમયનો સદુપયોગ કરવો અને સમયને ધર્મ આરાધનામાં લગાવવો. ધર્મનું શ્રવણ દુર્લભ છે. જે તન્મયતા સાથે તીર્થંકરોની વાણી સાંભળે છે, ધર્મ પુરુષોના પ્રવચન સાંભળે છે અને જ્ઞાન સરિતામાં ડૂબકી લગાવે છે, તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. ધાર્મિક પ્રવચન સાંભળવાનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. આગમમાં કહેવાયું છે કે શ્રવણથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી વિજ્ઞાન થાય છે, વિજ્ઞાનથી તપ થાય છે, તપથી નિર્જરા થાય છે અને નિર્જરાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિએ પોતાનો સમય ધર્મ આરાધનામાં વિતાવવો જોઈએ. ધર્મ આરાધનાથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાજવા યોગ્ય છે.
જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસની ઉજવણી નિમિત્તે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવા મહાસંઘ દ્વારા શહેરના જુદા જુદા 3 સ્થળ પર લાડુ વિતરણ કરવામાં આવશે. સંખ્યાબંધ કાર્યકર્તાઓ દ્વારા સવારે 9:30 કલાકે સ્ટાર બજાર અડાજણ પાલ રોડ સવારે 10:00 કલાકે સરગમ શોપિંગ સેન્ટર પાર્લે પોઇન્ટ અને સ્ટેશન ખાતે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિને લાડુનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવશે. સંસ્થાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીરવ શાહે જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામી એ માત્ર જૈન ધર્મ જ નહીં પરંતુ સમગ્ર માનવ સમુદાય અને જીવ સૃષ્ટિ પર વિચારતા તમામ ઉપર કરુણા વરસાવી છે. તેમણે આપેલા વિચારોને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આત્મસાત કરે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ક્યારેય ઊભી થાય નહીં. જ્વેલરીની આંગી તૈયાર કરાશેગોપીપુરા ખપાટિયા ચકલા ખાતે ભગવાન મહાવીર સ્વામીના 422 જુના પ્રાચીન જિનાલયમાં પણ ઉજવણી કરવામાં આવશે, જેમાં સવારે સાત વાગ્યે અભિષેક પ્રક્ષાલ, સાંજે છ વાગ્યે વિમાનની જેવી સજાવટવાળા પુષ્પ દીવડા અને જ્વેલરીની નયન રમ્ય આંગી તૈયાર કરવામાં આવશે. શહેરના મોટી સંખ્યામાં જૈન પરિવારો દર્શન માટે તેમજ ઉત્સવનો લાભ લેવા એકત્ર થશે. તેરાપંથ જૈન સમાજ દ્વારા 2625મો જન્મ કલ્યાણક ઉજવાશેજૈન પરંપરાના 24 તીર્થંકરોમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર અહિંસાના મહાન સાધક હતા. અર્જુનભાઈ મેડતવાલે જણાવ્યું હતું કે વર્તમાન સમયની તમામ સમસ્યાઓનું સમાધાન આ સિદ્ધાંતો દ્વારા થઈ શકે છે. આજે સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીરનો 2625મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તેરાપંથ જૈન સમાજ દ્વારા પણ વિવિધ સ્થળોએ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના કાર્યક્રમો યોજાશે. ઓલપાડમાં 130 વર્ષથી બિરાજમાન દરિયા માર્ગે સ્વયંભૂ શાંતિનાથ દાદા ઓલપાડ ટાઉનનું કરસનપુરા વિસ્તારમાં બિરાજમાન શાંતિનાથ ભગવાનની શ્વેત વર્ણની પ્રતિમા માત્ર આસ્થાનું પ્રતિક નથી પરંતુ તેના આગમનની કથા પણ અત્યંત ચમત્કારિક છે. 130 વર્ષ જૂની આ ધરોહર જૈન ધર્મના પાંચ મુખ્ય પૂજનીય તીર્થંકરોમાંના એક એવા શાંતિનાથ ભગવાનને સમર્પિત છે. ઇતિહાસ મુજબ, સવા સદી પૂર્વે ઓલપાડના મોર ભગવા ગામના દરિયાકિનારે માછીમારોને (ખારવા જ્ઞાતિના ભાઈઓને) દરિયાના મોજાં સાથે તણાઈ આવેલી એક રહસ્યમય લાકડાની બંધ પેટી મળી હતી. કુતૂહલવશ પેટી ખોલતા જ અંદરથી જૈન તીર્થંકરની મનોહર પ્રતિમા પ્રગટ થઈ હતી. આ સમાચાર મળતાં જ ઓલપાડ જૈન સંઘમાં હર્ષની હેલી ચઢી હતી અને ભગવાનની પ્રતિમાને સન્માનપૂર્વક ગાડામાં પધરાવી ઓલપાડ લાવવાની તૈયારી કરાઈ હતી. કુતૂહલવશ પેટી ખોલતા જ અંદરથી જૈન તીર્થંકરની મનોહર પ્રતિમા પ્રગટ થઈ હતી. આ સમાચાર મળતાં જ ઓલપાડ જૈન સંઘમાં હર્ષની હેલી ચઢી હતી અને ભગવાનની પ્રતિમાને સન્માનપૂર્વક ગાડામાં પધરાવી ઓલપાડ લાવવાની તૈયારી કરાઈ હતી.
પાલિકા ચૂંટણી માટે 2 દિવસમાં આચાર સંહિતા જાહેર કરાશે ત્યારે 23 માર્ચે રજૂ થયેલી પ્રાયમરી મતદાર યાદીમાં સુધારા સૂચનો બાદ 1 એપ્રિલે અંતિમ યાદી જાહેર કરવા પાલિકામાં મોડી રાત સુધી કામગીરી ચાલી હતી. નામ અન્ય બૂથમાં ખસી ગયા હોય, વિસ્તાર બદલાયા હોય અને બૂથ કપાઇ ગયા હોય જેવી ખામી પર સુધારા માટે સ્ટાફને હાજર રહેવા આદેશ કરાયા હતા. આ કામગીરી મધ્ય રાત સુધી ચાલી હતી. આ દરમિયાન સુધારા કામગીરીમાં ગુલ્લી મારનારા 25 આસિ. ઈજનેર અને 2 ડે. ઇજનેરને શોકોઝ ફટકારાઈ હતી. 23 માર્ચે રજૂ થયેલી પ્રાયમરી યાદીમાં સુધારા કરવા અરજી મંગાઇ હતી. જેથી અગાઉ 3185 બૂથની સંખ્યા ઘટાડીને 2587 કરી હોવાથી કપાયેલા બૂથોને ફરીથી યથાવત્ રાખવા અરજીઓ રજૂ થઈ હતી. આ સૂચનો પર પ્રક્રિયા પૂર્ણ કરી અંતિમ યાદી તૈયાર કરાશે. પાલિકાના ચૂંટણી વિભાગે યાદીનો રિપોર્ટ ગાંધીનગર મોકલવા પૂર્વે તમામ બિંદુ ચકાસ્યાં હતાં. મંગળવાર સવારે ગાંધીનગરથી અંતિમ સ્વરૂપ આપી યાદીને પ્રિન્ટ કરાશે. સંતોષકારક જવાબ ન મળે તો કડક કાર્યવાહી કરાશેપ્રાયમરી મતદાર યાદીમાં સુધારા જેવી મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન ગેરહાજર રહેલા પાલિકાના 25 આસિસ્ટન્ટ એન્જિનિયર અને 2 ડેપ્યુટી એન્જિનિયરને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં એક AE અને 2 ડેપ્યુટી ઇજનેરને ખુદ ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે નોટિસ ફટકારી હતી. જો સંતોષકારક જવાબ ન મળે તો કાર્યવાહીની પણ ચીમકી આપી છે.
કરદાતાઓને રાહત:હવે 10 લાખ ને બદલે 20 લાખ સુધીની મિલકત ખરીદો તો પાનકાર્ડ જરૂરી
1 એપ્રિલથી દેશમાં પાનકાર્ડ સંબંધિત ફેરફાર આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને માત્ર આધારકાર્ડનો ઉપયોગ કરીને જે રીતે પાનકાર્ડ મેળવી શકાતો હતો તે હવે નહીં મળે અને અગાઉ મિલકત ખરીદીમાં રૂપિયા 10 લાખના સોદા પર પાનકાર્ડ આપવો પડતો હતો તેમાં રાહત આપી 20 લાખ સુધીની મર્યાદા કરાઈ છે. સી.એ. પારસ શાહ કહે છે કે લિમિટ વધારાતાં કરદાતાઓને રાહત થઈ છે. મિલકતોના ભાવ જે રીતે વધ્યા છે તેમાં 10 લાખ સુધીની મિલકતો ભાગ્યે જ હોય છે અને આથી જ લિમિટ વધારીને 20 લાખ કરી હોય એમ લાગી રહ્યું છે. પાનકાર્ડ માટે નવા ફોર્મ અમલમાં આવશે, જેમાં નવું ફોર્મ 93 અને 95 ઉપરાંત 49એ કે જે ભારતીયો માટે હતા, NRI 49એએ નિવૃત્ત થઈ રહ્યા છે જ્યારે તેના બદલે ફોર્મ 93 ભારતીય માટે અને ફોર્મ 95 બિન નિવાસી વિદેશી સંસ્થાઓ માટે છે. 1લી પછી જૂના ફોર્મનો ઉપયોગ અસ્વીકાર્ય રહેશે. જે નામ આધારમાં હશે એ જ નામ પાનકાર્ડ પર આવશેહવે ફરજિયાત મેચિંગ થશે, એટલે કે નામ સુધારા માટે અગાઉ આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોય તો ચાલી જતું હતું, પરંતુ હવે જે નામ આધરકાર્ડમાં હશે એ જ નામ પાનકાર્ડ પર આવશે. આ ઉપરાંત માન્ય જન્મ તારીખના પુરાવા માટે જન્મ તારીખ, મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર, પાસપોર્ટ, મતદાર આઇડી, ડ્રાઇવિંગ લાયસન્સ અને મેજિસ્ટ્રેટે સહી કરેલી એફિડેવિટ જોઈશે. ભાસ્કર એક્સપર્ટહવે ડુપ્લિકેટ પાનકાર્ડના વેપલા પર પણ બ્રેક લાગશેઆજે કોઈપણ મોટી ખરીદી હોય તેના માટે પાનકાર્ડ જરૂરી છે. દરકે સરકારી કચેરીઓ, પોસ્ટ ઓફિસ, બેંકો વગેરે આવકવેરા વિભાગ સાથે જોડાયેલી હોય છે. મોટી ખરીદી થાય તો પણ સીધા ડેટા વિભાગને મળી જાય છે. બની શકે કે ડુપ્લિકેટ પાનકાર્ડ પર બ્રેક લાગે એ માટે પણ પાનકાર્ડ માટેની સિસ્ટમ સુદૃઢ કરવામાં આવી હોય. - દિનેશ દ્વિવેદી, સી.એ. અન્ય કયા સુધારા કરવામાં આવ્યા
ચેમ્બરની ચૂંટણી:164માંથી 10 ઉમેદવારનાં ફોર્મ રિજેક્ટ
ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં લાઈફ, પેટ્રન, ચીફ પેટ્રન સહિતની 72 બેઠકો માટે 164 ફોર્મ ભરાયાં હતાં. સોમવારે ચૂંટણી કમિટીએ તમામ ફોર્મની ચકાસણી હાથ કરી 10 ફોર્મ રિજેક્ટ કર્યાં હતાં. ચૂંટણી કમિટીના જણાવ્યા મુજબ, લાઈફ કેટેગરીના 8 ઉમેદવારોનાં ફોર્મ રિજેક્ટ થયાં હતાં, જ્યારે ગોલ્ડ અને ચીફ પેટ્રન કેટેગરીમાં એક-એક ઉમેદવારનાં ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યાં હતાં, જેનું મુખ્ય કારણ ઉમેદવારોએ ફોર્મમાં સહી કરવાનું ભૂલી જવું અને કેટલાક ચેમ્બરના સભ્ય બન્યાને બે વર્ષ પૂર્ણ થયાં ન હોવા છતાં ઉમેદવારી નોંધાવવી હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ કોઈપણ સભ્ય મેનેજિંગ કમિટીની ચૂંટણી લડવા માટે મિનિમમ 2 વર્ષ સુધી સભ્ય હોવો ફરજિયાત છે. આ નિયમને આધારે ચૂંટણી કમિટીએ ફોર્મની ચકાસણી કરીને નિયમ વિરુદ્ધના ફોર્મ રદ કર્યા હતા. હવે માન્ય ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા વધુ તેજ બનશે. મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને વેપારી વર્તુળોમાં રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ જૂથોમાં બેઠક અને મંત્રણાનો દોર શરૂ થયો છે.
યુદ્ધની અસર હવે પાલિકા દરવાજે પણ પહોંચવા માંડી છે. ખાસ કરીને ઓઈલ કંપનીઓમાંથી બિટ્યુમીન (ડામર) અને ઓઇલના સપ્લાય પર અછત વર્તાઈ રહી છે. હાલમાં 4 ટેન્કરના ઓર્ડર સામે માંડ 1ની ડિવલિવરી મળી રહી છે, જેથી છેલ્લા અઠવાડિયાથી રોડની કામગીરી બંધ થઈ ગઈ છે. હોટ મિક્સ પ્લાન્ટ પર મહિનો પણ નહીં ચાલે એટલો સ્ટોક છે. હોળી પહેલાં રોજના સરેરાશ 12 કિમીનાં રોડનાં કામો થતાં હતાં. પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલિકા દર વર્ષે પેચવર્ક અને રિકાર્પેટિંગ કરે છે. જો કે, હાલ બિટ્યુમીન્સ અને જરૂરી ઓઇલનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી કોન્ટ્રાક્ટરોએ રોડને લગતી તમામ કામગીરી સંપૂર્ણપણે અટકાવી દીધી છે. ખાડા પૂરવાનું કામ પણ અધવચ્ચે અટકી જતાં હાલમાં માત્ર રોડા-કપચી નાંખીને ગાડું ગબડાવાઈ રહ્યું છે, જેને કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. અછત પાછળનું ગણિત વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાતાં ડામરના ભાવ ટન દીઠ 40 હજારથી વધી 54 હજાર થઈ ગયાપાલિકાના જણાવ્યા પ્રમાણે, યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાતાં ડામરના ભાવ પ્રતિ ટન 40 હજારથી વધીને 54 હજાર થઈ ગયા છે. બીજીતરફ, મંજૂર કરેલા નવા રસ્તાના કામો સ્થગિત કરી દેવાયા છે. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધારે તો ચોમાસામાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી શકે છે. તમામ ઝોનોમાં હોટમિક્સ પ્લાન્ટ પર બિટ્યુમીનનો પૂરતો સ્ટોક રાખવા તાકીદ કરી છે. જો કે, કોન્ટ્રાક્ટરોના મતે મહિનો પણ નહીં ચાલે એટલો જ સ્ટોક છે. હાલમાં કોન્ટ્રાક્ટરો 4 ટેન્કર બુક કરાવે તો માંડ 1 ટેન્કર મળી રહ્યું છે. આગામી મહિનો પણ નહીં ચાલે એટલો જ સ્ટોક હોવાથી સ્થિતિ વધુ કથળશે એવી ધારણા છે. વૈકલ્પિક સપ્લાય વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવશે‘હાલમાં ઓછામાં ઓછા 15 દિવસ ચાલે તેટલો જ ડામરનો જથ્થો છે, જો સપ્લાયની સ્થિતિમાં સુધાર ન આવે તો રોડ નિર્માણ અને રિપેરિંગનાં કામો ધીમા પડી શકે છે અથવા સમયસર પૂર્ણ થઇ ન શકે તેવી સ્થિતિ છે, જેથી વૈકલ્પિક સપ્લાય વ્યવસ્થા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.’ > રોડ વિભાગ, પાલિકા હાલમાં 4 ટેન્કર બુક કરાવીએ તો માંડ 1ની ડિલિવરી મળે છેદરેક ઝોનના હોટ મિક્સ પ્લાન્ટ પર 30 ટન પુરવઠો સંગ્રહી શકાય તેટલી ક્ષમતા છે. જો કે, હાલમાં સ્થિતિ વિપરીત છે. 4 ટેન્કર બુક કરાવીએ તો 1 ગાડી જ ડિલિવરી મળતી હોવાથી સ્ટોક મેઇન્ટેઇન રાખવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે. હાલમાં તો સ્ટોકની સ્થિતિ ઠીક છે. આગામી દિવસોમાં મુશ્કેલી સર્જય શકે છે. > એમ. પટેલ, પ્લાન્ટ ઓપરેટર ભાવ તોતિંગ વધ્યા છતાં જૂના ભાવે કામ કરવાની સ્થિતિરોડ કોન્ટ્રાક્ટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ભાવમાં તોતિંગ વધારો અને માલની અછતને કારણે જૂના ભાવે કામ કરવું કપરું બની રહ્યું છે. જો સમયસર કામ પૂર્ણ નહીં થાય તો પાલિકા પેનલ્ટી ફટકારે તેનો ડર પણ છે. રોડ વિભાગે કહ્યું કે, હોળીની રજા પછી એકસાથે નવા રોડ નિર્માણ, રિ-કાર્પેટ અને ટ્રેન્ચ બેસાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી હતી. જોકે ડામરનો સ્ટોક મર્યાદીત હોવાની બૂમ ઉઠતાં તમામ 9 ઝોનના પ્લાન્ટને સ્ટોક મેઇન્ટેઇન કરવા સૂચના આપી છે. આ સાથે જ રોજે રોજ સ્ટોકની સાંજ સુધીમાં યાદી ખાતામાં મોકલી આપવા પણ જાણ કરાઇ છે.
રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. યુનિવર્સીટી રોડ પર આવેલા સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટમાં રહેતા PSIની રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું, જેમાં ફાયરિંગના કારણે ઈજાગ્રસ્ત PSI અને તેની સાથે એક મહિલાને ગોળી વાગી હતી. બન્નેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આ બનાવ રાત્રીના 1 વાગ્યા આસપાસ બન્યો હતો. રિવોલ્વરમાંથી ગોળી છૂટતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એન.કે. પંડ્યાના હાથમાં અને સાથે રહેલ મહિલા પૂજાબેનને કમરના ભાગમાં ગોળી વાગી હતી. બનાવ જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં PSI રિવોલ્વર સાફ કરતા હતા આ સમયે અચાનક ગોળી છૂટી જતા ફાયરિંગ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ખરા અર્થમાં શું ઘટના બની હતી અને હકીકત શું છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. PSI બે વર્ષથી ફ્લેટમાં રહેવા આવ્યા છે, મહિલા મિત્ર અવાર-નવાર આવતા હતાઅગાઉ યુનિવર્સિટી પોલીસ મથક અને હાલ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ નિતીન કે. પંડ્યા છેલ્લા દોઢ-બે વર્ષથી યુનિવર્સિટી રોડ પર આવેલા ઉમા પાર્કમાં શેરી નં-3માં સમન્વય સુલભ નામના એપાર્ટમેન્ટમાં 404 નંબરના ફ્લેટમાં એકલા જ રહેતા હતા. પૂજા નામના તેમના મહિલા મિત્ર અવાર-નવાર તેઓને મળવા આવતા હતા. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે, ફાયરિંગની ઘટના બન્યા બાદ આ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું છે. પીએસઆઇ પંડ્યાએ તેમના પડોશીઓને પણ મિસફાયર થયું હોવાનું અને આ ઘટનામાં પોતાને અને તેમના મહિલા મિત્રને ઇજા થયાનું જણાવ્યું હતું. હાલ બંનેને ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે આ ઘટના બની ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ મથકના ડી-સ્ટાફના પીએસઆઇ વિક્રમ ડોડિયાને પણ કોઇએ ફોન કરીને ઘટનાથી વાકેફ કર્યા હતા.
રાજકોટમાં કથિત પત્રકારોનો રાફળો ફાટ્યો છે ત્યારે એક પછી એક બ્લેકમેઇલિંગ અને તોડકાંડો પર પ્રકાશ પથરાયો છે. ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં બેડી ચોકડી વિસ્તારમાં હોટેલ ધરાવતા એક વ્યક્તિને યુવતી કાર રિપેર માટે આવ્યા બાદ માથાકૂટ કરી પોતે પ્રેસમાં હોવાનું કહી બદનામ કરી દેવાની ધમકી આપી હતી. આ મામલો અહીં જ ન અટક્યો આ કથિત મહિલા પત્રકારે બદનામ કરી દેવાની ધમકી સાથે રૂ.1 લાખની માગણી કરી હતી. આ મામલે હોટેલ સંચાલકે બી-ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે. આ બનાવમાં બેડી ચોકડી વિસ્તારમાં હોટેલ ધરાવતા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાહુલભાઈ પી. પીઠવા(ઉં.વ.26) નામના યુવકે બી-ડિવિઝન પોલીસ મથકમાં આપેલી અરજીમાં આરોપી તરીકે રિદ્ધિ ગોસ્વામી નામની યુવતીનું નામ આપ્યું છે. જેમાં આ કથિત મહિલા પત્રકાર સામે પૈસાની માગણી અને ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અરજદારે જણાવ્યું કે, તેને બેડી ચોકડી પાસે ચા-પાન, પંક્ચર અને ટ્યૂબની દુકાન છે. આરોપી મહિલા પોતાની સાથે 3-4 સાથીદારોને લઈને હોટેલ પર કારમાં પંક્ચર રિપેર કરાવવા આવી હતી બાદમાં પંક્ચર રિપેર થઈ શકે તેમ ન હોય જેથી હોટેલના કર્મચારીઓએ તેણીને ટ્યૂબ બદલી આપી હતી. જેને લઈને તેણીએ માથાકૂટ શરૂ કરી દીધી હતી અને પોતે પ્રેસમાં હોવાનું કહી વીડિયો પણ ઉતારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપી રૂ.1 લાખની માગણી કરવામાં આવી હતી. આ પજવણીની શરૂઆત આજથી લગભગ પંદરેક દિવસ પહેલા થઈ હતી જે બાદ પજવણી બ્લેકમેઇલિંગમાં પરિવર્તિત થતા ત્રાસી જઈ હોટેલ સંચાલકે યુવતી વિરુદ્ધ ગુનો નોંધાવવાનું નક્કી કર્યું હતું. કથિત મહિલા પત્રકારના સાથીદારે કહ્યું, “હું પોલીસમાં છું,’ આઈ કાર્ડ માગતાં ભોંઠો પડ્યોબી-ડિવિઝન પોલીસ મથકમાં કથિત મહિલા પત્રકાર સામે અરજી કરનાર રાહુલભાઈએ જણાવ્યું કે, આ યુવતી સાથે અન્ય ત્રણેક જેટલા યુવક પણ કારમાં બેઠા હતા. રિપેરિંગ માટે આપેલી ગાડીમાં ટ્યૂબ લગાવ્યા બાબતે માથાકૂટ દરમિયાન યુવતી સાથે આવેલા તેના એક પુરુષ સાથીદારે કારમાંથી પોલીસનો દંડો કાઢ્યો અને કહ્યું કે, હું પોલીસમાં છું. બાદમાં હોટેલ સંચાલકે આઈકાર્ડ માગ્યું તો તે ભોંઠો પડ્યો અને પોતે ‘હું તો બોલીશ’ પ્રેસમાં હોવાનું કહેવા લાગ્યો હતો.
કરુણાંતિકા સર્જાઈ:પિકનિક માણવા ગયેલા યુવાનનું પડધરીની નદીમાં ડૂબી જવાથી મોત
રાજકોટ શહેરના પોપટપરા પાસે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા લાલજી ભરતભાઈ ભોજવિયા (ઉ.વ.20) રવિવારની રજા હોવાથી પરિવાર સાથે બહાર ફરવા જવાનું આયોજન કર્યું હતું. લાલજી પોતાના પિતા ભરતભાઈ, નાનો ભાઈ, ફઈનો પૌત્ર તેમજ પાડોશી વાઘજીભાઈ સાથે રિક્ષામાં બેઠા પછી પડધરી તાલુકાના રામપર ગામ પાસે આવેલી નદી કિનારે પહોંચ્યા હતા. નદી કિનારે સૌ કોઈ આનંદમાં સમય પસાર કરી રહ્યા હતા ત્યારે લાલજી નહાવા માટે પાણીમાં ઉતર્યો હતો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડી જ વારમાં તે અચાનક ઊંડાણમાં જઈ પહોંચ્યો અને બહાર નીકળી શક્યો નહોતો. પિતાની આંખો સામે જ દીકરો પાણીમાં તણાઈ રહ્યો હોવાના દૃશ્ય જોઈ ભરતભાઈ ગભરાઈ ગયા હતા. તાત્કાલિક ભરતભાઈ અને પાડોશી વાઘજીભાઈએ હિંમત બતાવી પાણીમાં ઝંપલાવ્યું અને ભારે મહેનત બાદ લાલજીને બહાર કાઢ્યો હતો. જોકે તે સમયે તે બેભાન હાલતમાં હતો. વિલંબ કર્યા વગર તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પડધરી પોલીસે તપાસ શરૂ કરી છે.
આધેડે જીવાદોરી કાપી:એકલવાયા જીવનથી કંટાળીને આધેડનો આપઘાત
શહેરમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. બાલાજી હોલ પાછળ આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા 45 વર્ષીય રિક્ષાચાલક આધેડે એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. નિલેશભાઈ લાલજીભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી એકલા રહેતા હતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા. બે દિવસ પહેલાં સંબંધીઓ સાથે તેમની વાત થઈ હતી, પરંતુ ત્યારબાદ તેઓ ફોન ન ઉપાડતા શંકા ઊભી થઈ હતી. આજે સવારે સંબંધીઓ તેમના ઘરે પહોંચતા દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતાં નિલેશભાઈ પંખામાં લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં એકલતાથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
કાર પાર્કિંગ મુદ્દે ઝઘડો ઉગ્ર બન્યો:પ્રૌઢ સામે છેડતી, બીભત્સ માંગના ગંભીર આક્ષેપ
શહેરના નાણાવટી ચોક નજીક આવેલા નંદનવન આવાસ ક્વાર્ટરમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હવે ગંભીર આક્ષેપો સુધી પહોંચ્યો છે. એક તરફ પ્રૌઢ પર પાઇપ અને બેટ વડે હુમલો થયાની ફરિયાદ નોંધાઈ છે, તો બીજી તરફ સામા પક્ષની મહિલાએ છેડતી અને જાતીય માગણીના ચોંકાવનારા આક્ષેપો સાથે વળતી ફરિયાદ નોંધાવી છે, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, ઇજાગ્રસ્ત નટવર નાનજીભાઈ જાદવ(ઉ.વ.52)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, રવિવારે બપોરે તેમના સંબંધીએ આરોપીઓની રિક્ષા રાખવાની જગ્યાએ કાર પાર્ક કરી હતી. આ બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ એક મહિલા સહિત ત્રણ શખ્સે તેમની પત્ની ચંપાબેન સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં પાઇપ અને બેટ વડે નટવરના માથામાં હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. સાથે જ જ્ઞાતિ સંબંધિત અપશબ્દો બોલ્યાનો પણ આક્ષેપ કરાયો છે, પરંતુ આ ઘટનાએ વળાંક ત્યારે લીધો જ્યારે સામા પક્ષની મહિલાએ નટવર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી. મહિલાના જણાવ્યા મુજબ, તેઓ પોતાના ઘર પાસે રિક્ષા પાર્ક કરવા ગયા ત્યારે ત્યાં કાર ઊભી હોવાથી તેને હટાવવાનું કહ્યું હતું. આ સમયે નટવર ઉશ્કેરાઈ ગયો અને મહિલાની સાથે અશ્લીલ વર્તન કરી શરીરસંબંધ બાંધવાની માગણી કરી હતી. વધુમાં જાહેરમાં તેમનું ટી-શર્ટ ફાડી નાખ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ રીતે એક સામાન્ય પાર્કિંગ વિવાદ હવે છેડતી અને હુમલાની પરસ્પર ફરિયાદોમાં ફેરવાતા વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. યુનિવર્સિટી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે મારામારી, છેડતી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચૈત્ર સુદ પૂનમના રોજ ગુરુવારે તા.2 એપ્રિલના દિવસે હનુમાનનો જન્મોત્સવ છે. આ દિવસે હસ્ત નક્ષત્ર સાંજે 5:37 સુધી છે ત્યારબાદ ચિત્રા નક્ષત્ર છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં થયેલ. હનુમાનજીની ઉપાસના કરવાથી બીમારીઓ રોગ અને મુસીબત દૂર થાય છે. આ તકે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, શનિની નાની- મોટી પનોતીની પીડા પણ દૂર થાય છે, રાહુ પીડા પણ દૂર થાય છે. હનુમાનજીની મૂર્તિ રજવાડી રથમાં બિરાજમાન થશે, 251 કિલો મલીદાના પ્રસાદનું વિતરણશ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા ગુરુવારે સાંજે 4:30 કલાકે રામનાથપરા-16 સ્થિત શ્રી બડા બજરંગ હનુમાનજી મંદિરથી રથયાત્રા પ્રસ્થાન કરશે. તેમાં 60થી વધુ આકર્ષક ફ્લોટ્સ જોડાશે. આ યાત્રામાં હનુમાનજીની મૂર્તિ રજવાડી રથમાં બિરાજમાન થશે, જેને ભાવિકો શ્રદ્ધાપૂર્વક રસ્સા વડે ખેંચશે. માર્ગમાં 251 કિલો મલીદાના પ્રસાદનું વિતરણ થશે અને રથ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. યાત્રામાં કેદારનાથની ઝાંખી, દેવી-દેવતાઓ અને દેશના લડવૈયાઓના જીવંત પાત્રો, ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ગૌમાતાનું મહત્ત્વ સમજાવતા વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ યાત્રા રામનાથપરા મેઇન રોડ, હાથીખાના, કેનાલ રોડ, પેલેસ રોડ અને કરણપરા ચોક જેવા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને શ્રી બાલાજી મંદિર, ભૂપેન્દ્ર રોડ ખાતે સંપન્ન થશે. ફાઉન્ડેશનના પ્રમુખ કલ્પેશ ગમારા અને સમિતિના સભ્યોએ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય મહોત્સવમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે. ધાર્મિક કાર્ય સાથે સેવાકીય પ્રવૃતિ કરાશેરાજકોટના કાલાવડ રોડ પર આવેલા શ્રી ચમત્કારિક ધામ ખાતે ગુરુવારે મંગળા આરતી સવારે 6 વાગ્યે, વિશ્વ શાંતિ માટે મારુતિ યજ્ઞ 7:30 વાગ્યે, 10:30 વાગ્યે ધ્વજારોહણ કરાશે. સાંજના 5 વાગ્યે અન્નકૂટ દર્શન, 7 વાગ્યે ઢોલ-નગારાના તાલે મહાઆરતી યોજાશે અને 7:30થી મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ. ભક્તિ સંધ્યામાં ઇસ્કોન મંદિર દ્વારા સાંજે સંત-કીર્તન અને હનુમાનજીના ગુણગાનનો કાર્યક્રમ યોજાશે. વિશેષ આકર્ષણ તરીકે રાત્રે 10:30 વાગ્યે ભવ્ય આતશબાજી જોવા મળશે. આ દિવસે સવારે 11 વાગ્યે રામરચિત ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તથા કુંડાનું નિઃશુલ્ક વિતરણ, સાંજે 6 વાગ્યે કુમકુમ ગ્રૂપ દ્વારા તુલસીના રોપાનું વિતરણ અને સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પ યોજાશે. મંદિર સંચાલન સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભગત, કાર્યકારી પ્રમુખ ગિરિરાજસિંહ રાઠોડ દ્વારા ઉત્સવમાં પધારવા આમંત્રણ અપાયું છે. હનુમાનજીની પૂજા કરવા બેસી ત્યારે લાલ કે કેસરી વસ્ત્રો પહેરવા ઉત્તમહનુમાન જયંતીના દિવસે ભાઈઓએ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી તેના ઉપર હનુમાનજીની છબી રાખવી. બાજુમાં સરસવના તેલનો ફૂલ વાટનો દીવો કરવો, હનુમાનજીને ચંદનનો ચાંદલો કરી 7,11,21 કે 108 હનુમાન ચાલીસાના પાઠ અથવા સુંદરકાંડનો પાઠ કરવો. ઉપરાંત ૐ નમો હનુમંતે ભયભંજનાય સુખ કુરુ ફટ સ્વાહ મંત્રનો જાપ પણ કરી શકાય. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને સુખડી નૈવેદ્ય ધરવું ઉત્તમ છે. હનુમાનજીની પૂજા કરવા બેસો ત્યારે ખાસ કરીને લાલ અથવા કેસરી વસ્ત્રો પહેરવા પણ ઉત્તમ ગણાય છે.
ડ્યુએથલોનનું આયોજન કરાયું:ફિટનેસ અવેરનેસ માટે 21 કિમી સાઇક્લિંગ, 5 કિમી રનિંગ કરાયું
રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા રોટરી મીડટાઉન લાઇબ્રેરીના સહયોગથી ડ્યુએથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આશરે 140 જેટલા ઉત્સાહીએ ભાગ લીધો હતો. જેમાં 21 કિમી સાઇક્લિંગ અને 5 કિમી રનિંગ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીન રોડ પરથી શરૂ કરવામાં આવી હતી. ઇવેન્ટનો ફ્લેગ ઓફ રાજકોટ એસ.પી. વિજયસિંહ ગુર્જર, ડૉ.જતિનભાઈ મોદી, જિગ્નેશ કામદાર અને આકાશ પારેખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ માટે કુલ 2.5 કલાકનો કટઓફ સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાંથી 139 ભાગલેનારએ સફળતાપૂર્વક સમયમર્યાદામાં પૂર્ણ કર્યું હતું. ઇવેન્ટમાં ભાગલેનાર માટે સંસ્થા દ્વારા હેલ્મેટ તથા હેડલાઇટ અને ટેઇલલાઇટ ફરજિયાત રાખવામાં આવી હતી તેમજ પૂરતું માર્ગદર્શન અને સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. તમામ ભાગલેનારોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે, આ ઇવેન્ટનો મુખ્ય હેતુ શહેરમાં ફિટનેસ અવેરનેસ ફેલાવવાનો અને લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો.
તહેવારો પહેલાં જ સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો બોજ આવી પડ્યો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી રસોડા સુધી પહોંચી છે. ક્રૂડ ઓઈલની સાથે ખાદ્યતેલોની સપ્લાય ચેઈન ખોરવાતા રાજકોટ સહિત રાજ્યભરના તેલબજારમાં તેજીની ‘આગ’ લાગી છે. સિંગતેલ બાદ હવે કપાસિયા અને પામોલીન તેલના ભાવ પણ આસમાને પહોંચતા મધ્યમવર્ગની હાલત કફોડી બની છે. આ તેજી હજુપણ ચાલુ રહે તેવી આગાહી નિષ્ણાતોએ કરી છે. ખાદ્યતેલમાં તેજી પાછળના મુખ્ય કારણો બજારની વર્તમાન સ્થિતિ, ક્યા તેલમાં કેટલો ઉછાળો? મધ્યમવર્ગના રસોડાનું બજેટ ખોરવાયુંખાદ્યતેલોના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારો માટે રસોઈ બનાવવી મોંઘી બની છે. મર્યાદિત આવક વચ્ચે ખર્ચ વધી રહ્યો છે. તેલના ડબ્બાના ભાવ 3000ની આસપાસ પહોંચતા ઘરનું બજેટ ખોરવાયું છે. માસિક કરિયાણાના બજેટમાં માત્ર તેલ પાછળ જ રૂ.300થી 500નો વધારાનો બોજ પડતા સામાન્ય માણસની આર્થિક કમર તૂટી ગઈ છે.
શહેરમાં પરિવારિક સંબંધોની નાજુક સ્થિતિ દર્શાવતો અને સાથે જ સમયસર લેવાયેલા યોગ્ય પગલાંથી એક તૂટતું ઘર બચી શકે છે એવો સંદેશ આપતો એક હૃદયસ્પર્શી બનાવ સામે આવ્યો છે. રાજકોટની એક પરિણીતાએ પોતાના પતિના અનૈતિક સંબંધોથી કંટાળી અંતે મદદ માટે હાથ લંબાવ્યો હતો. અંદાજે 10 વર્ષના લગ્નજીવન પછી વિશ્વાસમાં પડેલી તિરાડે પરિવારને તોડી નાખવાની સ્થિતિ ઊભી કરી હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સાત મહિનાની ગર્ભવતી પત્નીને પણ ઘર છોડીને જવા કહેવામાં આવતું હતું. પીડિતાના જણાવ્યા મુજબ, છેલ્લા લગભગ 11 મહિનાથી તેમના પતિનો અન્ય મહિલા સાથે સંબંધ હતો. આ મુદ્દે ઘરમાં વારંવાર ઝઘડા થતા અને દરેક વખતે પત્ની સમાધાન માટે પ્રયત્ન કરતી, પરંતુ પતિ પર તેની કોઈ અસર પડતી નહોતી. ગર્ભાવસ્થાની સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ મહિલાએ સતત માનસિક ત્રાસ સહન કરવો પડતો હતો. અંતે પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોવાને કારણે મહિલાએ મદદ માગી. ઘટનાના દિવસે પતિ અન્ય મહિલાને મળવા ગયા હોવાની જાણ થતાં, પત્નીએ હિંમત ભેગી કરી અને બંનેને સામસામે બેસાડી વાત કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન સમજણ અને સંવાદનો એવો માહોલ સર્જાયો કે પતિને પોતાની ભૂલનો અહેસાસ થયો. ગર્ભવતી પત્નીની સ્થિતિ અને તેના દુઃખ સામે તેઓ નમ્યા. તેમણે પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માગી અને ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી આપી. ઘટનામાં જોડાયેલી ટીમે પણ શાંતિપૂર્વક બંને પક્ષને સમજાવ્યા, પતિને તેમના પરિવાર પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવ્યું અને સંબંધોમાં વિશ્વાસનું મહત્વ સમજાવ્યું. આખરે, પત્નીએ પણ વિશાળ દિલ રાખીને પતિને માફ કરી અને સંબંધને બીજી તક આપી. આ બનાવ માત્ર એક પરિવારની કહાની નથી, પરંતુ સમાજ માટે વિચારવા જેવી વાત છે, સંબંધોમાં તિરાડ પડ્યા પછી પણ સમજણ અને સંવાદથી પરિવારને બચાવી શકે છે. સમયસર લેવાયેલો નિર્ણય સંબંધ માટે નવી તકરૂપી બને છેદાંપત્ય જીવનમાં તણાવ કે ગેરસમજ ઊભી થાય ત્યારે તેને અવગણવા કરતા સમયસર વાતચીત અને માર્ગદર્શન લેવું જરૂરી છે. આ બનાવ બતાવે છે કે યોગ્ય સમયે સહારો લેવાથી તૂટતાં સંબંધો પણ ફરી જોડાઈ શકે છે. સંવાદ, સમજણ અને જવાબદારી આ ત્રણ બાબતો જ પરિવારને બચાવવાનો સાચો આધાર બને છે.
હાઈકોર્ટે પોલીસ અધિકારીનો ઉધડો લીધો:શું પછાત વિસ્તારના લોકોને તમે માણસમાં ગણતા નથી?
અરવલ્લીમાં રહેતા આરોપીની ધરપકડ બાદ તેનો 3 દિવસ બાદ મૃતદેહ મળી આવતા તેમના પરિવારે હાઈકોર્ટમાં કસ્ટોડિયલ ડેથ થયું હોવાની અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે સરકારને આડે હાથ લેતા ટકોર કરી હતી કે પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટેલા આરોપીની વાત કરો છો, પણ જવાબદાર પોલીસ અધિકારીને તમે તાત્કાલિક અસરથી શા માટે સસ્પેન્ડ નથી કર્યા? પોલીસ ફોર્સ શું કરે છે? પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા આરોપીની લાશ મળે તે સ્પષ્ટ કરે છે કે કસ્ટોડિયલ ડેથ છે. તેના શરીર પરથી ઇલેક્ટ્રિક શોકના નિશાન મળ્યાં છે. કાગળ પર આરોપી તમારી કસ્ટડી પર બતાવે છે અને તમે તેને શોધવાને બદલે સીધા બહારથી લાશ મળી હોવાની થિયરી લઈને આવો છો? જે ગામડા કે પછાત વિસ્તારમાંથી આવે છે તેમની સાથે પોલીસ અમાનવીય વર્તન કરે છે. તમે તેને માણસ પણ નથી ગણતા? આ મામલે નેશનલ હ્યુમન રાઇટ કમિશને પણ પોલીસ પાસે જવાબ માગ્યો છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં અમિત શાહે આપેલા નિવેદનના છે. તેમણે કહ્યું કે જે હથિયાર ઉપાડશે, તે તેની કિંમત ચૂકવશે. બીજા સમાચાર ઈરાન યુદ્ધને લઈને છે, ટ્રમ્પે કહ્યું કે જો સમજૂતી નહીં થાય તો ઈરાન ખતમ થઈ જશે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી મહાવીર જયંતીના અવસરે ગાંધીનગર જશે. કોબામાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે નવા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. 2. IPL 2026ની ચોથી મેચ પંજાબ અને ગુજરાત વચ્ચે મુલ્લાંપુરમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. કાલના મોટા સમાચારો 1. અમેરિકી હુમલામાં દિલ્હી આવનારું ઈરાની વિમાન ક્ષતિગ્રસ્ત:મશહદ એરપોર્ટ પર ઊભું હતું, ભારતથી રાહત સામગ્રી લઈ જવાની હતી અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 31મો દિવસ છે. ઇરાનમાં સોમવારે મહાન એરલાઇન્સનું એક વિમાન અમેરિકી હુમલામાં ક્ષતિગ્રસ્ત થયું. આ વિમાન મશહદ એરપોર્ટ પર ઊભું હતું અને નવી દિલ્હી આવવાનું હતું. તેનો હેતુ ભારતમાંથી દવાઓ અને અન્ય જરૂરી રાહત સામગ્રી લઈ જવાનો હતો. બીજી તરફ યુરોપિયન યુનિયન (EU)એ ઇરાન પર લાગેલા માનવાધિકાર સંબંધિત પ્રતિબંધોને એક વર્ષ માટે વધુ લંબાવ્યા છે. હવે આ પાબંદીઓ 13 એપ્રિલ 2027 સુધી ચાલુ રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. અમિત શાહે કહ્યું- જે હથિયાર ઉઠાવશે, તેમણે કિંમત ચૂકવવી પડશે:વામપંથીઓએ ભોળા આદિવાસીઓને અંધારામાં રાખ્યા, હવે બસ્તરથી લાલ આતંક લગભગ ખતમ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં ‘નક્સલ મુક્ત ભારત’ મુદ્દે દોઢ કલાક ભાષણ આપ્યું. તેમણે કહ્યું- જે લોકો આખી વ્યવસ્થાને નકારીને હથિયાર ઉઠાવી લે છે, તે ચાલશે નહીં. હથિયાર ઉઠાવનારાઓને તેની કિંમત ચૂકવવી પડશે. શાહે કહ્યું- વર્ષોથી ભોળા આદિવાસીઓને અંધારામાં રાખવામાં આવ્યા. વામપંથીઓએ પોતાની વિચારધારા ફેલાવવા માટે આદિવાસીઓને ભ્રમિત કર્યા. કોંગ્રેસે આઝાદી પછી 75 વર્ષમાં 60 વર્ષ રાજ કર્યું. તો પછી આદિવાસીઓ વિકાસથી કેમ વંચિત રહી ગયા? શાહે કહ્યું- કોંગ્રેસે 60 વર્ષ દરમિયાન આદિવાસીઓ સુધી ઘર, શાળા, મોબાઈલ ટાવર પહોંચવા દીધા નહીં અને હવે હિસાબ માંગી રહ્યા છે. પોતાના ગિરેબાનમાં ઝાંકીને જુઓ. જે લોકો નક્સલવાદની વકાલત કરે છે, તેમને પૂછવા માંગુ છું કે આ બધું 1970 થી અત્યાર સુધી કેમ થયું ન હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રૂપિયામાં ઐતિહાસિક ગાબડું:14 વર્ષનો સૌથી મોટો કડાકો, 95.22 પ્રતિ ડોલર પહોંચ્યો; 9 સવાલ-જવાબમાં જાણો કોને થશે ફાયદો અને કોનું બજેટ ખોરવાશે? ભારતીય રૂપિયો 30 માર્ચે અમેરિકન ડોલર સામે 88 પૈસા નબળો પડીને 95.22 પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે. અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે રૂપિયામાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. એક મહિનામાં રૂપિયો લગભગ 4% ઘટ્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં 10%થી વધુ તૂટી ચુક્યો છે. આ છેલ્લા 14 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. વિદેશી બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીન મુજબ, જો ઇરાન યુદ્ધ ચાલુ રહેશે તો રૂપિયો 98 સુધી જઈ શકે છે. જોકે, રિઝર્વ બેંક (RBI) એ બેંકોની ફોરેક્સ પોઝિશન લિમિટને કડક કરીને રૂપિયાને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિદેશી રોકાણકારોના સતત વેચાણને કારણે બજારમાં તેની અસર ખૂબ જ ઓછા સમય માટે જોવા મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મમતાએ કહ્યું- ભાજપ કેશ-ગેસ બંધ કરી દેશે:કેરળમાં રાહુલે કહ્યું- મોદી પર ટ્રમ્પનું દબાણ, તેવી જ રીતે પિનારાઈ પર પીએમનું દબાણ દેશના 5 રાજ્યોમાં એપ્રિલમાં ચૂંટણી છે. તમામ રાજ્યોમાં પાર્ટીઓની જનસભા, રેલી અને ઉમેદવારોનો જનસંપર્ક ચાલુ છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બેલ્દામાં ચૂંટણી સભામાં કહ્યું- ભાજપ સમાજના તમામ વર્ગો વચ્ચે ઝઘડો ભડકાવી રહી છે. ચૂંટણી પછી ગેસ અને કેશ આપવાનું બંધ કરી દેશે. ભાજપ દેશને લૂંટવા માંગે છે. આ તરફ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે છે. તેમણે પતનમથિટ્ટામાં ચૂંટણી સભાને સંબોધી હતી. રાહુલે કહ્યું- સત્ય તો એ છે કે નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં છે, આ વાત દરેક જણ જાણે છે. બરાબર આ જ રીતે, નરેન્દ્ર મોદી તમારા મુખ્યમંત્રીને પણ પોતાના ઈશારા પર નચાવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. વસતી ગણતરી વખતે પૂછશે આ 33 સવાલો:1 એપ્રિલથી ડિજિટલ ગણતરી શરૂ; ઓનલાઈન પોર્ટલ પર જાતે પણ આપી શકાશે માહિતી; લિવ-ઈન કપલ્સ ગણાશે 'પરિણીત' વસ્તી ગણતરી-2026નો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે 33 પ્રશ્નો બહાર પાડ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્થિર સંબંધમાં રહેતા લિવ-ઇન કપલ્સને પણ પરિણીત ગણવામાં આવશે. આ ત્યારે જ થશે જ્યારે યુગલ માનશે કે તેમનો સંબંધ લાંબો ચાલવાનો છે. પ્રથમ તબક્કા માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, લોકો પોતાની માહિતી જાતે ભરી શકશે. તેમની મદદ માટે આ પોર્ટલ પર FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) પણ આપવામાં આવ્યા છે. આ તબક્કો ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ વસ્તી ગણતરી’ કહેવાય છે. તેનો હેતુ દેશમાં ઘરો અને મૂળભૂત સુવિધાઓની માહિતી એકત્રિત કરવાનો છે, જેથી સરકાર વધુ સારી યોજનાઓ બનાવી શકે. બીજા તબક્કામાં વસ્તી સંબંધિત વિગતવાર માહિતી લેવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. PM મોદી આજે ગુજરાતમાં:સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે, ગાંધીનગરમાં જૈન ઇતિહાસને સમર્પિત મ્યુઝિયમની ભેટ, ડીસામાં જાહેર સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનના પ્રવાસની શરૂઆત આધ્યાત્મિક વારસાના દર્શન સાથે થશે. જ્યાં તેઓ જૈન ઇતિહાસને સમર્પિત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરી અહિંસાનો વૈશ્વિક સંદેશ આપશે. વાવ-થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સ્વિમિંગ પૂલમાં બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો, CCTV:રાજકોટના સોપાન હાઈટ્સના પૂલમાં નહાવા પડેલા બે માસૂમના મોત, વ્હાલસોયાને ગુમાવતા પરિવારમાં કલ્પાંત રાજકોટમાં સોપાન હાઈટ્સ બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા બિલ્ડિંગમાં જ સફાઈ કામ કરતા બંને બાળકોના માતા-પિતા દોડી આવ્યા હતા અને બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે બંને ભાઈ-બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નેપાળી પરિવાર માત્ર 14 દિવસથી જ અહીંયા સફાઈ કામ કરવા માટે કામ પર લાગ્યો હતો. 7 અને 5 વર્ષના માસૂમના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : નીતિશ કુમારે MLC પદ પરથી રાજીનામું આપ્યું:સંજય ગાંધી વિધાન પરિષદ પહોંચ્યા; નિતિન નવીને પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજીનામું મોકલાવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇઝરાયલે CNN પત્રકારો સાથે ગેરવર્તણૂક બદલ બટાલિયન સસ્પેન્ડ કરી:સૈનિકોએ અટકાયતમાં લીધા હતા, ઓપરેશનમાંથી હટાવીને તાલીમમાં મોકલ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : નેવીના જવાને ગર્લફ્રેન્ડના ત્રણ ટુકડા કર્યા:માથું સળગાવી દીધું, બોડીનો એક ભાગ પલંગ નીચે અને બીજો ફ્રિજમાં સંતાડ્યો; આંધ્રપ્રદેશમાં શ્રદ્ધા વાલકર જેવો કેસ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ચોરોએ લીધો ‘કિટકેટ બ્રેક...’:4 લાખથી વધુ ચોકલેટ લઈને ઇટલીથી પોલેન્ડ જતી ટ્રક રહસ્યમયી રીતે ગાયબ થઈ, કંપનીએ આપ્યા ફની રિએક્શન વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળશે, કેન્દ્રનો નિર્ણય:દરેક જિલ્લામાં 2 પંપ પર સુવિધા હશે, ઓઈલ કંપનીઓ 5 હજાર લિટર સ્ટોક રાખી શકશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : મેદાનમાં હાર્દિકનો જલવો, બહાર માહિકાનો દબદબો:પંડ્યાના દીકરા અગસ્ત્ય માટે પેપરાઝી પર ભડકી GF માહિકા, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પાકા ઘડે કાંઠા ન ચડે:ખરાબ ટેવમાં ફસાયેલા યુવાનને સંતની શીખ, કુટેવના મૂળીયા ઊંડે પહોંચે તે પહેલાં જ તેને ઉખેડી નાખો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ફોટોશૂટ માટે હાથીને ગુલાબી રંગમાં રંગ્યો જયપુરમાં એક રશિયન ફોટોગ્રાફર જૂલિયા બુરુલેવાએ ફોટોશૂટ માટે હાથીને ગુલાબી રંગમાં રંગી દીધો, જેની તસવીરો વાયરલ થતા જ વિવાદ થયો હતો. લોકોએ પ્રાણીની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા, જોકે ફોટોગ્રાફરે દાવો કર્યો હતો કે ઉપયોગમાં લેવાયેલ ઓર્ગેનિક રંગ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: છેલ્લો નક્સલ કમાન્ડર નેપાળ ભાગ્યો, માર્યા ગયેલા એક નક્સલીની પત્ની એક્ટિવ; શું અમિત શાહની નક્સલવાદને નાબૂદ કરવાની ડેડલાઇન પૂરી થશે? 2. ભાસ્કર સિરીઝ : જોધપુરના વૈભવી ફાર્મ હાઉસમાં આસારામે કર્યું કુકર્મ: ‘કુટિયા’માં વિધિના નામે વાસનાનો વિકૃત ખેલ, આસારામની પડતીની શરૂઆત થઇ, જુઓ સિરીઝનો એપિસોડ-21 3. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : સરકારની નજર સામે ગાંધીનગરમાં નિયમોનો ઉલાળિયો: નિવૃત્તિના 10 વર્ષ પછી નોકરી ચાલુ, મંત્રાલયના 4-4 પત્રો છતાં કોના આશીર્વાદથી સિટી એન્જિનિયર ખુરસીથી ન ઉઠ્યા? 4. મંડે મેગા સ્ટોરી : અંધાધૂંધ બોમ્બમારો, પછી સમુદ્ર અને હવાઈ માર્ગે કમાન્ડો પહોંચશે: જાણો 3 ટાર્ગેટ પર અમેરિકી ગ્રાઉન્ડ એટેકનો સંપૂર્ણ પ્લાન; ઈરાન કેવી રીતે કિલ્લાબંધી કરી રહ્યું છે 5. MATCH મસાલા : બાપ રે, હાર્દિકે દોઢ મહિનામાં કરોડો ઉડાવી દીધા: વાનખેડેમાં સુહાના અને સારા આમને સામને; RRની ટીમે વૈભવને બાટલીમાં ઉતારી દીધો 6. Editor's View: ટ્રમ્પ સામે મહાવિદ્રોહ: અમેરિકામાં 90 લાખ લોકો રસ્તા પર ઊતર્યા, 3,300 શહેરોમાં અરાજકતા, લૉકડાઉન જેવી સ્થિતિ વચ્ચે હાલત બેકાબૂ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ, વૃશ્ચિક અને મકર રાશિને લગ્નના યોગ, ગ્રહોની સ્થિતિ કર્ક જાતકોને અદ્ભુત શક્તિ પ્રદાન કરશે વાંચો સંપૂર્ણ રાશિફળ
રમતગમત ક્ષેત્રે અમદાવાદના ફાળે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. શહેરના જાણીતા કોચ ધીરેન પટેલને દેશના સૌપ્રથમ 'PPR ઇન્ડિયા કોચ ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટની માન્યતા બાદ 'ટ્રેન ધ ટ્રેનર' મોડલ હેઠળ 28 માર્ચે શહેરમાં યોજાયેલા 'IPA અને PPR લેવલ-1 કોચ સર્ટિફિકેશન પ્રોગ્રામ' દરમિયાન તેને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદના અન્ય ત્રણ કોચને પણ આ મોડલ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી છે. પીકલબોલ રમતને પ્રોત્સાહન આપવા, ખેલાડીઓને તૈયાર કરવા અને નવા કોચને માર્ગદર્શન આપવામાં તેમના અજોડ યોગદાન બદલ આ પસંદગી કરવામાં આવી છે. ધીરેન પટેલ પોતે એક સર્ટિફાઇડ PPR ક્લિનિશિયન છે અને તેમણે પાયાના સ્તરથી લઈને સ્પર્ધાત્મક સ્તર સુધી પીકલબોલના વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી 30 જેટલા કોચ હાજર રહ્યા હતા, જેમને આધુનિક કોચિંગ પદ્ધતિઓ અને ટેકનિકલ કૌશલ્યોની તાલીમ આપવામાં આવી હતી. આ એવોર્ડનો મુખ્ય હેતુ દેશભરના કોચને પ્રોત્સાહિત કરવાનો અને ભારતમાં ઝડપથી વિકસી રહેલી પીકલબોલ રમતનું ભવિષ્ય વધુ મજબૂત બનાવવાનો છે. જેમ આ રમત લોકપ્રિય થઈ રહી છે, તેમ ધીરેન પટેલની આ સિદ્ધિ અન્ય ખેલપ્રેમીઓ માટે પ્રેરણારૂપ બનશે. આ એવોર્ડ કેમ ખાસ છે?ભારતમાં પીકલબોલની રમત માટે 'કોચ ઓફ ધ યર' એવોર્ડની શરૂઆત આ વર્ષે એટલે કે 2026થી જ કરવામાં આવી છે. ધીરેન પટેલ આ સન્માન મેળવનાર ભારતના સૌથી પહેલા કોચ બન્યા છે. આ એવોર્ડ અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા 'પ્રોફેશનલ પીકલબોલ રજિસ્ટ્રી' (PPR) અને 'ઇન્ડિયન પીકલબોલ એસોસિએશન' (IPA) દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે.
જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાયો:ખુદરંગ દિલ...જીગરાના અવાજનો જાદુ છવાયો
JG યુનિવર્સિટીનો એન્યઅલ યુથ કનેક્ટ ફેસ્ટ યોજાયો. જેમાં 8000થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા. ફેસ્ટમાં સિંગર જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. તેમના પરફોર્મન્સમાં સ્ટુડન્ટ્સે મસ્તી સાથે ડાન્સ કર્યોં હતો. સમગ્ર ફેસ્ટનું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ દ્વારા કરાયું હતું. બેકસ્ટેજથી લઈને ઈવેન્ટના ઈમ્પ્લિમેન્ટેશન સુધીની દરેક જવાબદારી સ્ટુડન્ટ્સે સંભાળી હતી. તે ઉપરાંત ડીજે ધવલના મ્યુઝિક પર સ્ટુડન્ટ્સે ડાન્સ કર્યોં હતો. જીગરદાન ગઢવીના પરફોર્મન્સમાં વિદ્યાર્થીઓ મનમુકીને ઝુમ્યા.
અમદાવાદ : ક્લાસિકલ ડાન્સ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નૃત્ય ક્ષમતાઓ સાથે આત્મબળનો પરિચય આપ્યો. ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશનના ઉપક્રમે અંકુર સ્કૂલ ખાતે ‘આત્મ બલમ 1.0’ યોજાયું. નૃત્યભારતીના નિરાલી ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુતિઓ રજૂ થઈ. જેમાં બૌદ્ધિક રીતે વિકલાંગ છતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની હાથથી બનાવેલી કૃતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. તેમાં ઉત્થાન તાલીમ કેન્દ્ર, નવજીવન ટ્રસ્ટ, ડૉ. જીત મહેતા બળશાળા ટ્રસ્ટ, સંસ્કૃતિ, દ્રોણાગિરી હર્બલ્સ, ભટ્ટ બ્રધર્સ, ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન, અંકુર શાળા સામેલ રહ્યા. કાર્યક્રમનો હેતુ વિશિષ્ટ વ્યક્તિઓના કૌશલ્યને આગળ લાવી આત્મનિર્ભર બનાવવાનો હતો.
GLS યુનિવર્સિટી ખાતે ‘કલામંચ’નું આયોજન કરાયું:મનહર ઉધાસને ‘કલારત્ન’ એવોર્ડ એનાયત
GLS યુનિવર્સિટી ખાતે ‘કલામંચ’નું આયોજન કરાયું. જે અંતર્ગત ગઝલકાર મનહર ઉધાસને કલારત્ન એવોર્ડથી સન્માનિક કરવામાં આવ્યા હતા. સંગીત ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને આ સન્માન અપાયું. કલામંચના કલ્ચરલ પરફોર્ન્સમાં સ્ટુડન્ટ્સે મીરાં બાઈ, રાણી લક્ષ્મીબાઈ જેવા પાત્રોને નૃત્યથી જીવંત કર્યા. તેમજ ફેશન શૉની પહેલી સિક્વન્સ ‘હેરિટેજ લેબ’માં સ્ટુડન્ટ્સે પરંપરા, વારસો જ્યારે બીજી સિક્વન્સમાં દેવીના વિવિધ સ્વરૂપોને આધુનિક, કલાત્મક રીતે રજૂ કર્યા. કલામંચ સ્ટુડન્ટ્સ માટે આર્ટિસ્ટિક પ્લેટફોર્મ બની રહ્યું. ‘કલારત્ન’ હિસ્ટોરીક આર્ટ્સ તરફથી મળેલું પહેલું સન્માન છે. લોકો આજે પણ ગઝલ, ભજન સાંભળવામાં રસ ધરાવે છે. પર્ફોર્મિંગ આર્ટમાં સ્ટુડન્ટ્સ માટે ડ્રામા સાથે ગઝલનો પણ સબ્જેક્ટ રાખવો જોઈએ. ગઝલ લખવાનું શીખવાડવું જોઈએ. ફોર્મેશન પણ શીખવાડવું જરૂરી છે.’ - મનહર ઉધાસ
સ્કૂલના બાળકોમાં કલ્પનાશક્તિ ખીલે તે માટે પહેલાં સ્ટોરી ટેલિંગ કરાવીને પછી વિઝ્યુઅલ આર્ટ કરાવીએ તો સો ટકા પરિણામ મળે છે. આ રીતે બાળકોની કલ્પનાશક્તિ ખીલે છે. ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યુથી કરાવેલી આ પ્રેક્ટિસ તેમનામાં સેલ્ફ કોન્ફિડન્સ પણ વધારે છે. આ વાત કનોરિયાના ચિલ્ડ્રન કોર્સના ઇન્ચાર્જ ફોરમ પાઠકે કહી. કનોરિયા સેન્ટર ફોર આર્ટસ ખાતે ત્રિ-વર્ષીય ચિલ્ડ્રન કોર્સના વિદ્યાર્થીઓની આર્ટને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રદર્શન શરૂ થયું છે. પ્રદર્શનનો પ્રારંભ પરિધિ અદાણી, ગાર્ગી યાદવની હાજરીમાં થયો. પ્રદર્શન 1 એપ્રિલ સુધી જોઈ શકાશે. એક્ઝિબિશનમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન શીખેલી વિવિધ આર્ટ રજૂ કરી છે. ડ્રોઈંગ, પેઇન્ટિંગ, શિલ્પકળા, ગ્રાફિક્સ, ક્રાફ્ટ વર્ક સામેલ છે.
M.E/M.Tech પ્રવેશ પ્રક્રિયા:એમઈ, એમટેકની 358 બેઠકો પર પ્રવેશ માટે 9 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે
રાજ્યની 6 ખાનગી ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) યુનિવર્સિટીઓમાં પીજી (M.E/M.Tech) માટે પ્રવેશની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. ACPCએ જાહેર કરેલી વિગત મુજબ સંસ્થાઓની 358 બેઠકો પર માત્ર ક્વોલિફાઈંગ GATE સ્કોરના આધારે જ મેરિટ તૈયાર કરી પ્રવેશ આપવામાં આવશે તેમ એસીપીસીના મેમ્બર સેક્રેટરી ડોનિલય ભૂપતાણીએ જણાવ્યુંહતું. 2 વર્ષમાં ખાલી રહેલી બેઠકો મહત્ત્વની સમયરેખા: કઈ સંસ્થામાં કેટલી બેઠકો?

32 C