ઇસનપુર ખાતે નિઃશુલ્ક એક્યુપ્રેશર કેમ્પ યોજાયો:સુહાની ફાઉન્ડેશનના સહયોગથી 39 દર્દીઓને સારવાર મળી
સુહાની ફાઉન્ડેશનના સહયોગથી ઇસનપુરની સમજુબા સ્કૂલ ખાતે તાજેતરમાં જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ રોગોથી પીડાતા 39 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી. સિનિયર થેરાપિસ્ટ જતિનભાઈ મહેતા અને પોરસભાઈ મજમુદાર સહિત કુલ 13 સ્વયંસેવકોએ આ નિઃશુલ્ક સારવાર કેમ્પમાં સેવા આપી હતી. સેવા આપનારાઓમાં સોનુભાઈ, જીગ્નેશભાઈ, રૂપચંદભાઈ, જ્હાન્વીબેન, દિનાબેન, અર્ચનાબેન, પ્રિયંકાબેન, ભાવનાબેન, ચંદાબેન, કશીષબેન અને અંજનાબેનનો સમાવેશ થાય છે.
ટંકારા પોલીસ સ્ટેશન સામે રાજકોટ-મોરબી હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારને પોલીસે રોકી હતી. તપાસ દરમિયાન કારમાંથી 50 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹4,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક અન્ય વ્યક્તિનું નામ ખુલ્યું છે. પોલીસે GJ 36 AJ 2958 નંબરની ઓરા કારની તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન ₹65,000 ની કિંમતનો 50 બોટલ વિદેશી દારૂ, ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ₹4,00,000ની કિંમતની કાર સહિત કુલ ₹4,75,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સંજયભાઈ દેવદાનભાઈ ડાંગર (ઉંમર 34, રહે. જસાપર, તા. માળીયા) અને જ્યોતિબેન સંદીપભાઈ ધરજીયા (ઉંમર 34, રહે. નવાગામ, આણંદપર રંગીલા મેઈન રોડ, રાજકોટ)નો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં રાજકોટના રામદેવસિંહ ગોહિલનું નામ પણ ખુલ્યું છે. ટંકારા પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય જે કોઈના નામ ખુલશે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તજવીજ શરૂ કરવામાં આવી છે.
પરિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દફતરનો ભાર ન લાગે તે માટે દાતા કિરીટકુમાર બી. દેસાઈએ એક નવી પહેલ કરી છે. તેમણે શાળાને 12 રેક દાનમાં આપ્યા છે.આ રેકનો ઉપયોગ બાળકો તેમના દફતર શાળામાં જ રાખી શકે તે માટે કરવામાં આવશે. દાતા કિરીટકુમાર દેસાઈએ બાળકોને દફતર લાવવામાં પડતી મુશ્કેલી અને વજન ઊંચકવાની તકલીફ જોઈને આ નિર્ણય લીધો હતો. આ પહેલથી વિદ્યાર્થીઓને દરરોજ ભારે દફતર લાવવાની જરૂર રહેશે નહીં, જેનાથી તેમનો શૈક્ષણિક ભાર હળવો થશે. શાળા પરિવારે દાતા કિરીટકુમાર બી. દેસાઈનો આ ઉમદા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો છે.
સોમનાથ મંદિર નજીક જૂના શોપિંગ સેન્ટરનું ધ્વસ્તીકરણ શરૂ:યાત્રિક સુવિધા અને આધુનિકીકરણ માટે કાર્યવાહી
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના વિકાસ આયોજનના ભાગરૂપે, મંદિર નજીક આવેલા 20 વર્ષ જૂના શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સને તોડવાની કાર્યવાહી આજે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. યાત્રિકોની સુવિધા અને મંદિર વિસ્તારના આધુનિકીકરણ માટે આ પગલું લેવાયું છે. આ શોપિંગ સેન્ટરમાં કાર્યરત 120 જેટલા દુકાનદારોને મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ નવનિર્મિત 'સ્વદેશી હાટ'માં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આથી, જૂનું બિલ્ડિંગ શાંતિપૂર્ણ રીતે ખાલી કરાવી દેવાયું હતું. આજે મજૂરો અને સોમનાથ સિક્યુરિટી સ્ટાફની કડક દેખરેખ હેઠળ બિલ્ડિંગ પાડવાની કામગીરી શરૂ થઈ છે. જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને, આ વિસ્તાર તરફનો માર્ગ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મંદિર વિકાસ યોજના અંતર્ગત યાત્રિકોને વધુ સારી સુવિધાઓ, ખુલ્લો પ્રવાસ માર્ગ, પાર્કિંગ સુવિધા અને ધાર્મિક ખરીદી માટે આધુનિક માળખું ઊભું કરવાની યોજના છે. આ જૂનું શોપિંગ સેન્ટર આ યોજનામાં અવરોધરૂપ હતું. શરૂઆતમાં સ્થાનિક દુકાનદારોમાં ચિંતા હતી, પરંતુ 'સ્વદેશી હાટ'માં સુવિધાયુક્ત નવી દુકાનો મળતા તેમનો વેપાર ફરીથી સામાન્ય બન્યો છે. ધ્વસ્તીકરણ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રશાસન દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ 8 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણી સ્વજન સંસ્થાના સહયોગથી વિવિધ ફન ગેમ્સ અને સ્પર્ધાઓના આયોજન સાથે કરવામાં આવી હતી. સંસ્થાના સમય દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચાર જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. જૂથ 4 ના વિદ્યાર્થીઓ માટે 'મારી નવજીવન' વિષય પર વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.જૂથ 3 ના વિદ્યાર્થીઓએ સંગીત ખુરશીની રમતમાં ભાગ લીધો હતો, જ્યારે જૂથ 2 ના વિદ્યાર્થીઓ માટે લખોટી પાસની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી નાના જૂથ, એટલે કે જૂથ 1 ના વિદ્યાર્થીઓએ મણકાં શોધની રમતમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વજન સંસ્થા દ્વારા દરેક જૂથમાંથી પાંચ વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા, આમ કુલ 20 વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને આશ્વાસન ઇનામ તરીકે ઉનની ટોપી આપવામાં આવી હતી.
NDDB ચેરમેન મિનેષ શાહે હિંમતનગરની સાબરડેરી ખાતે OPU-IVEP-ET લેબોરેટરીનું ખાતમુહૂર્ત કર્યું છે. આ આધુનિક લેબ આગામી આઠ મહિનામાં પાંચ કરોડના ખર્ચે તૈયાર થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પશુઓની ઓલાદ સુધારવાનો છે. OPU-IVEP-ET લેબોરેટરી ઉચ્ચ આનુવંશિક લક્ષણો ધરાવતી ગાય-ભેંસના અંડકોષ અને સાંઢ-પાડાના શુક્રાણુમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રયોગશાળામાં ગર્ભ બનાવશે. આ ગર્ભને તંદુરસ્ત ગર્ભાશય ધરાવતી વાછરડી-પાડી કે ઓછું દૂધ આપતી ગાયો-ભેંસોમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા ઓછું દૂધ આપતી ગાયો-ભેંસો પણ વધુ દૂધ આપતી પાડી-વાછરડીને જન્મ આપી શકશે. જેના પરિણામે પશુપાલકોના ઘરઆંગણે ઉચ્ચ આનુવંશિક લક્ષણો ધરાવતી વાછરડીઓ અને પાડીઓની સંખ્યામાં વધારો થશે, જે પશુધનની ગુણવત્તા સુધારશે. સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ લેબોરેટરીમાં એક વર્ષમાં અંદાજિત 1000 ગર્ભ બનાવવામાં આવશે. આનાથી બે વર્ષ બાદ સાબરડેરીમાં દૂધની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સાબરડેરીના ચેરમેન શામળભાઈ બી. પટેલ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. તેમની સાથે વાઈસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ, ડૉ. વિપુલ પટેલ સહિત નિયામક મંડળના સભ્યો, NDDBના પ્રતિનિધિઓ, વિભાગીય વડાઓ અને સંઘના એ.એચ. વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને વિદ્યાભારતી, ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે ‘ભારતીય શિક્ષણ તથા સંશોધન પદ્ધતિઓ’ પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના શિક્ષણ ક્ષેત્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ભારતીય જ્ઞાન પરંપરા અને આધુનિક સંશોધન પદ્ધતિઓ વચ્ચેના સંગમને નવી દિશા આપવાનો આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાયસેગ દ્વારા વંદે ગુજરાત – ચેનલ 5 તથા યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ મારફતે થયું હતું. આ રાષ્ટ્રીય પરિસંવાદની અધ્યક્ષતા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ કરી હતી. મુખ્ય વક્તા તરીકે વિદ્યાભારતીના ઉપપ્રમુખ તથા એનસીઈઆરટીના સલાહકાર શ્રી અવનીશ ભટનાગર હાજર રહ્યા હતા. વિશેષ વક્તા તરીકે ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલપતિ ડૉ. હિતેશ જાનીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું, જ્યારે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલગુરૂ ડૉ. ટી.એસ. જોષી તથા વિદ્યાભારતીના મહામંત્રી વિષ્ણુભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં આજના શિક્ષણ જગતમાં ચાલી રહેલી ઝડપી ટેક્નોલોજીકલ ક્રાંતિ, ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સાયન્સની વચ્ચે ભારતીય શિક્ષણ વ્યવસ્થાના મૂલ્યાંકનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આજના શિક્ષણ જગતમાં સંશોધનની ગુણવત્તા સર્વોપરિ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ પરિસંવાદનો ઉદ્દેશ્ય સંશોધન પદ્ધતિઓમાં ભારતીય દ્રષ્ટિકોણનો સમાવેશ કરવાનો છે. આપણે ફક્ત તથ્યાત્મક સંકલનમાં આગળ વધીને સત્યમ ઋતમ બૃહત સિદ્ધાંત અને જય વિજ્ઞાનમની સાથે વડાપ્રધાનના મંત્ર જય અનુસંધાનના દ્રષ્ટિકોણને પણ અપનાવવો પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે આપણી સંશોધન પદ્ધતિઓ સ્વદેશી દ્રષ્ટિકોણ અને ભારતીય જ્ઞાન પરંપરાથી પ્રેરિત હશે, ત્યારે જ આપણે તેજસ્વી બાળકથી તેજસ્વી ભારતની સંકલ્પનાને સિદ્ધ કરી શકીશું. હવે આપણે વિશ્વ વિદ્યાલયને માત્ર ડિગ્રી વિતરણ કેન્દ્ર નહીં, પણ ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને સ્ટાર્ટઅપ હબ તરીકે વિકસિત કરવાની છે, જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી દ્વારા થઈ રહ્યું છે. સંશોધન કાર્ય રાષ્ટ્રની ઉન્નતિ અને આત્મનિર્ભરતાનો આધાર બનવું જોઈએ.
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાની કુંવરબાઈની તલાવડી સરકારી પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષિકા મોનિકાબેન મહેન્દ્રકુમાર દવેએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી છે. તેમણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ ફિલોસોફી (PhD)ની પદવી પ્રાપ્ત કરી છે. મોનિકાબેન ધોરણ 6 થી 8માં ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના અથાગ પ્રયત્નો અને મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમણે આ ઉચ્ચ ડિગ્રી મેળવી છે.તેમણે પ્રોફેસર ડૉ. બી.એલ. પુંજાણીના માર્ગદર્શન હેઠળ PHENOLOGICAL STUDIES OF TREE SPECIES OF SELECTED POLLUTED AND NON-POLLUTED AREAS OF GUJARAT વિષય પર મહાશોધ નિબંધ લખ્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ આ મહાશોધ નિબંધને માન્ય રાખીને તેમને PhDની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી છે.
શાંતિ બિઝનેસ સ્કૂલમાં દીક્ષાંત સમારોહ યોજાયો:199 વિદ્યાર્થીઓને PGDM ડિપ્લોમા એનાયત કરાયા
અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) માં PGDM ક્લાસ 2023-25 માટે 14મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ 199 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેમાં પ્રતિષ્ઠિત મહેમાનો, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓના પરિવારો અને કોર્પોરેટ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ITC લિમિટેડના બિસ્કિટ અને કન્ફેક્શન્સ બિઝનેસ યુનિટના ચીફ એક્ઝિક્યુટિવ કવિતા ચતુર્વેદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, તમારી વ્યાવસાયિક સફરમાં સ્માર્ટ વર્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને કાર્યક્ષેત્રમાં એવી ભૂમિકાઓ ભજવવામાં ક્યારેય અચકાશો નહીં જેમાં તમે શ્રેષ્ઠ કરી શકો છો. નિષ્ફળતા ફક્ત એક અલ્પવિરામ છે; પ્રયત્ન કરતા રહો, તમારું મૂલ્ય જાણો અને દરેક વ્યક્તિ સાથે આદરપૂર્વક વર્તીને સફળ બનો. શાંતિ બિઝનેસ સ્કૂલના (SBS) ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ સ્નાતક થનારા વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, શિક્ષણ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે કોઈ સારા હેતુ અને યોગદાન તરફ દોરી જાય. જેમ જેમ તમે આગળ વધો છો, તેમ તેમ જિજ્ઞાસા રાખો, પ્રામાણિકતા સાથે નેતૃત્વ કરો અને તમારા કાર્યોને SBS માં આપવામાં આવેલા મૂલ્યોને પ્રતિબિંબિત થવા દો. પેશન, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સિ સફળતા તરફ દોરી જાય છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં આત્મવિશ્વાસ, નમ્રતા અને પ્રભાવ પાડવાની હિંમત સાથે લઈ જાઓ. આ કાર્યક્રમની અધ્યક્ષતા ચિરિપાલ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ બ્રિજમોહન ચિરિપાલે કરી હતી. કોન્વોકેશનની ઔપચારિક ઘોષણા એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈએ કરી હતી.આ સમારોહમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિશિષ્ટતા માટે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. PGDM માં સુવરંજન સુબુધી અને PGDM (માર્કેટિંગ) માં હર્ષિતા ગુપ્તાને ઓવરઓલ એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત, એકેડેમિક ટોપર્સ વર્ષિતા શર્મા, વિજયવર્ગીય મયંક, સાક્ષી ભટ્ટ, કડિયા દર્શ, સુશ્રી વૃંદા શુક્લા અને જય નિષાદને પણ તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષના સ્નાતક જૂથે ડેલોઇટ, નેસ્લે, એસ એન્ડ પી ગ્લોબલ, કાંતાર, એશિયન પેઇન્ટ્સ, ફેડરલ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, એચડીએફસી, પરફેટી વાન મેલે અને અન્ય જેવી અગ્રણી રાષ્ટ્રીય અને વૈશ્વિક સંસ્થાઓમાં પ્લેસમેન્ટ મેળવ્યું છે. આ સંસ્થાના મજબૂત શૈક્ષણિક પાયા, કોર્પોરેટ જોડાણ અને કારકિર્દી તૈયારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે, અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં છ જેટલી ટીમો દ્વારા કોસાડ આવાસના H-1 અને H-2 બિલ્ડિંગ એરિયામાં મોટાપાયે સઘન ચેકિંગ અને સર્ચ કામગીરી કરવામાં આવી હતી. DCP, ACP સહિત મોટા પોલીસ કાફલા સાથે મેગા કોમ્બિંગ કરતા 6 તલવારો મળવા સાથે 58 કેસ કરાયા હતા. પાંચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયોઆ કોમ્બિંગ ઓપરેશનમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો. અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશન કોમ્બિંગમાં જોડાયા હતા. ડીસીપી, એસીપી, તેમજ પાંચેય પોલીસ સ્ટેશનના પીઆઇ કોમ્બિંગમાં જોડાયા હતા. મુખ્ય નિશાન પર કોણ?પોલીસ ટીમોએ ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેઠાણો પર તપાસ કરી હતી. આ કોમ્બિંગનો મુખ્ય હેતુ વિસ્તારમાં કાયમી ધોરણે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને પકડી પાડવાનો હતો. હિસ્ટ્રી શીટર, MCR (મોસ્ટ ક્રિમિનલ રેકોર્ડ) ધરાવતા શખ્સો, ટપોરી અને માથાભારે શખ્સો પર કાર્યવાહી કરી હતી. કાર્યવાહી અને ધરપકડકોમ્બિંગ દરમિયાન પોલીસે અનેક સફળતાઓ હાંસલ કરી હતી, જેમાં ઘાતક હથિયારો જપ્ત કરવાથી લઈને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડનો સમાવેશ થાય છે. કેટલાક ઇસમો પાસેથી ઘાતક હથિયારો કબજે કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 6 તલવાર અને મોટા રેમ્બો છરા પણ કબજે કર્યા હતા. પોલીસે પાંચ તડીપાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેઓ શહેરની હદમાં પ્રવેશબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. 58 જેટલા કેસ કરીને કાર્યવાહીપ્રોહીબિશન સહિતના વિવિધ ગુનાઓ બદલ અન્ય 30 જેટલા લોકો વિરુદ્ધ કેસો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 58 જેટલા કેસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસના આ ઓપરેશનથી કોસાડ આવાસ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે.
ગઢડામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે મૃતક મહિલાના પતિ સતીશ શાંતિલાલ વસાવાને અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ચારિત્ર્યની શંકા રાખી પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. ગત 7 ડિસેમ્બરે ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક વાડીના રૂમમાંથી એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ ચંપાબેન વસાવા તરીકે થઈ હતી, જેઓ તેમના પતિ સતીશ વસાવા સાથે મજૂરી કામ કરતા હતા. પોલીસ તપાસમાં સતીશ વસાવાએ જણાવ્યું કે તેણે ચારિત્ર્યની શંકાને કારણે પોતાની પત્ની ચંપાબેનની કુહાડી વડે હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે કુહાડી વાડીના કૂવામાં ફેંકી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગઢડા PI ડી.બી. પલાસના માર્ગદર્શન હેઠળ PSI જી.જે. ગોહિલ અને PSI જે.આર. હેરમા સહિતની ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને આરોપી અમદાવાદના નિકોલ વિસ્તારમાં હોવાની બાતમી મળતા યુવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ ગોહિલ, નિતેશ ગઢવી અને હરેશ સાપરાની ટીમે ત્યાં પહોંચી સતીશ વસાવાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં હત્યા કેવી રીતે થઈ, કઈ જગ્યાએ થઈ અને હથિયાર ક્યાં ફેંકવામાં આવ્યું તે અંગેની માહિતી મેળવી હતી. આરોપી સતીશ વસાવા વડોદરા જિલ્લાના ચગડોળ ગામનો વતની છે. પોલીસ હવે આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરશે.
હારીજ કૉલેજ NSS શિબિર શરૂ:52 વિદ્યાર્થીઓ ભાગ લેશે, જુના માંકા ગામે 7 દિવસીય સેવાકાર્ય યોજાશે
હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનો આરંભ કરવામાં આવ્યો છે. આ 7 દિવસીય શિબિર જુના માંકા ગામે યોજાઈ રહી છે, જેમાં કૉલેજના 52 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ શિબિરનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જીગ્નેશ પરમાર દ્વારા આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ યુવાનોમાં પર્યાવરણ જાગૃતિ, સામાજિક સમરસતા, વ્યસનમુક્તિ અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોનું સિંચન કરવાનો છે. શિબિર દરમિયાન સ્વચ્છતા અભિયાન, શેરી નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમો, રેલીઓ, પાણી અને વાણીના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ, યોગ સત્રો, પ્રભાત ફેરી, હેલ્થ એવરનેસ, આયુર્વેદ અને જીવન વિષય પર વિવિધ કાર્યક્રમો યોજાશે. શિબિરની ઉદ્ઘાટન બેઠકમાં HNGU પાટણના કો-ઓર્ડિનેટર કમલેશ ઠક્કર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પંચાલ પ્રાથમિક શાળા, જુના માંકાના આચાર્ય ડૉ. વિરસંગભાઈ ચૌધરી, જુના માંકાના સરપંચ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.ડૉ. વિરસંગભાઈ ચૌધરીએ NSS ના મહત્વ અને સેવાકાર્યને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો, જ્યારે કમલેશભાઈ ઠક્કરે રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્ય અંગે સમજાવ્યું હતું.
ખેલમહાકુંભ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં LJK યુનિવર્સિટીના Integrated MBA – 5 Year Programના વિદ્યાર્થી આરવ ઝવેરી અને તેમની ટીમે વિજય હાંસલ કર્યો છે. આ ટુર્નામેન્ટ સંસ્કારધામ અને અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે આયોજિત કરવામાં આવી હતી. આરવ ઝવેરીની ટીમે ઉત્તમ રમત કુશળતા, શિસ્તબદ્ધ ખેલ અને વ્યૂહાત્મક આયોજન દર્શાવીને આ જીત મેળવી. તેમની રમત પ્રત્યેની નિષ્ઠાને કારણે તેમને રાજ્ય ઝોનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.આ સિદ્ધિ LJK યુનિવર્સિટી અને સમગ્ર ટીમ માટે ગૌરવની વાત છે, જે તેમની સખત મહેનત અને સમર્પણનું પરિણામ છે.
રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા આચાર્ય ડૉ. મનોજભાઈ પટેલના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ 5 ડિસેમ્બર, 2025, શુક્રવારના રોજ ગીતાજયંતી મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવદ્ગીતાના શાશ્વત ઉપદેશોને વિદ્યાર્થીઓ સુધી સરળ, રસપ્રદ અને આધુનિક ઉદાહરણો સાથે પહોંચાડવાનો હતો. કાર્યક્રમની શરૂઆત હર્ષિકા રાજપૂત દ્વારા કરાયેલ મંગલ પ્રાર્થનાથી થઈ. ત્યારબાદ ડૉ. મહેશ ઝાલાએ શાબ્દિક સ્વાગત કર્યું અને ગીતાજયંતી મહોત્સવની પૃષ્ઠભૂમિ રજૂ કરી. મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા રામ ગિરિધારી પ્રભુજીએ ભગવદ્ગીતા: સાચી સફળતાની ચાવી વિષય પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે અત્યંત સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે સાચી સફળતા માત્ર પૈસા, પદ કે બાહ્ય સિદ્ધિઓથી મળતી નથી, પરંતુ મનની શાંતિ, આત્મવિશ્વાસ, ધીરજ અને સકારાત્મક વિચારો દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રભુજીએ ગીતામાં જણાવેલ નિષ્કામ કર્મ, એકાગ્રતા અને સ્વધર્મનું પાલન કેવી રીતે જીવનને સફળ બનાવે છે, તે રોજિંદા જીવનના ઉદાહરણો આપીને સમજાવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજના આચાર્ય ડૉ. મનોજભાઈ પટેલે પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં ગીતાના આધારસ્તંભ એવા નિષ્કામ કર્મ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને મર્મસ્પર્શી વાતો રજૂ કરી. તેમણે કર્તવ્ય જ પૂજા છે એ ભાવને જીવનમાં ઉતારવાથી વ્યક્તિગત તેમજ સામાજિક જીવનમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ ફેલાય છે તેવા વિચારો વ્યક્ત કર્યા. વિદ્યાર્થીઓએ પણ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. જલ્પા પરમાર અને દર્શિતા ગુપ્તાએ મધુરાષ્ટકમ સ્તોત્રનું ગાન કર્યું. પ્રિયાંશુ પારેખ, વિજયભાઈ બારિયા, હર્ષિકા રાજપૂત અને મેહુલ પરમાર એમ ચાર વિદ્યાર્થીઓએ ગીતાના જીવનમૂલ્યો પર ટૂંકું પરંતુ પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું. કોલેજમાં ચાલતા 'લાઇફ વિથ ભગવદ્ ગીતા' સર્ટિફિકેટ કોર્સમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર સ્ટાફ પરિવારનો તેમજ જલ્પા, દર્શિતા, ક્રિષ્ના, તુલસી, યસ, અભિષેક વગેરે વિદ્યાર્થીઓનો સહયોગ મળ્યો હતો. અંતે, પ્રા. કરણસિંહ પરમારે આભારવિધિ કરી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. મહેશ ઝાલાએ કર્યું હતું.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા ભાગમાં ગઇકાલે તમે વાંચ્યું કે અમદાવાદના પોશ વિસ્તારમાં ગોતામાં બિઝનેસમેનના ઘરમાં થયેલી હત્યાની ઘટના વિશે વાંચ્યું. 52 વર્ષના રેખાબેન અગ્રવાલ રાતના આઠ વાગ્યાની આસપાસ ઘરમાં હતા. ત્યારે તેમની પુત્રવધુ સાથે ઝઘડો થયો અને બન્ને મારામારી કરવા લાગ્યા. પુત્રવધુના દાવા પ્રમાણે સાસુથી ગભરાઈને તે એક રૂમમાં પુરાઈ ગઈ. એ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ આવી અને તેણે સાસુ રેખાબેન અગ્રવાલની હત્યા કરી નાખી. આટલું જ નહીં, પુત્રવધુ નાયરા લગભગ 3 કલાક કરતા વધુ સમય સુધી રૂમમાં પુરાઈ ગઈ. ઘરમાં થયેલા શોરબકોરના વિશે આડશપાડોશના લોકોએ રેખાબેનના પતિને જાણ કરી હતી. પરંતુ રેખાબેનના પતિને કોરોના થયો હોવાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. એટલે તેમનો દીકરો દીપક ટુવ્હિલર લઈને ફટાફટ ઘરે પહોંચ્યો હતો. પરંતુ તેની પત્નીએ રૂમનો દરવાજો બહારથી લોક હોવાનું કહ્યું હતું. આખરે નીરસણી લાવીને દીપક રસોડાની બારીમાંથી ઘરમાં ઘૂસ્યો ત્યારે તેણે પોતાની માતાની લોહીથી લથપથ લાશ જોઈ. ત્યા થઈ એ સમયે ઘરમાં રેખાબેન અને નાયરા જ હાજર હોવાથી પોલીસે શંકાના આધારે તેણીની પૂછપરછ કરી હતી. એ દરમિયાન નાયરાએ ઘરમાં ત્રીજી વ્યક્તિ આવી હોવાનો પોલીસ સમક્ષ દાવો કર્યો. એટલે કેસની તપાસની દિશા જ ફરી ગઈ. હવે વાંચો આગળનું ઇન્વેસ્ટિગેશન…હત્યાના કેસમાં નાયરા શંકાના ઘેરામાં તો હતી. પરંતુ તેણે આપેલું સ્ટેટમેન્ટ જેમાં ત્રીજો માણસ ઘરમાં પ્રવેશ્યો હોવાની થિયરીને પણ સંપૂર્ણ રીતે નકારી શકાય એમ નહોતી. પોલીસની એક ટીમે તરત જ સોસાયટીના અને આસપાસના વિસ્તારના તમામ CCTV ફૂટેજ મેળવ્યા. રાતના 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીના ફૂટેજ ચકાસવામાં આવ્યા. પરંતુ ઘરમાં કે સોસાયટીમાં કોઈ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ નજરે ન પડી. પોલીસે સિક્ટોરિટી ગાર્ડની પણ પૂછપરછ કરી. પરંતુ તેણે કોઈને જોયા હોવાની વાત નકારી કાઢી. આનાથી પોલીસ સામે વધુ ગૂંચવણ ઊભી થઈ. જો બહારથી કોઈ આવ્યું ન હોય તો પછી હત્યા કોણે કરી? બીજા દિવસે સવારે નાયરાના માતા-પિતા પણ રાજસ્થાનના બ્યાવરથી અમદાવાદ દોડી આવ્યા. દીકરીને હત્યાના કેસમાં ફસાયેલી જોઈને તેઓ આઘાતમાં હતા. બીજી તરફ દીપકના પિતા હોસ્પિટલમાં એડમિટ હતા, માતા મૃત્યુ પામ્યા એટલે એ પણ બેવડી પીડામાં ચૂપચાપ બેઠો હતો. પોલીસ પાસે હવે આ કેસ ઉકેલાય એવો કોઈ પ્રત્યક્ષદર્શી ન હતો. ઘરની ચાર દીવાલો વચ્ચે થયેલા ક્રાઇમમાં નાયરા એકમાત્ર સાક્ષી હતી અને હવે તેનું સ્ટેન્ટમેન્ટ પર ખોટું લાગતું હતું. એટલે પોલીસ અધિકારીએ એક યુક્તિ અજમાવવાનું નક્કી કર્યું. સાયકોલોજિકલ પ્રેશર આપીને અને ભ્રમ ઊભો કરવો. તેમણે નાયરાની ફરીથી પૂછપરછ શરૂ કરી. પોલીસ અધિકારીએ કહ્યું, “જુઓ…બેન. અમે જાણીએ છીએ કે તમે ડરેલા છો. પણ હવે અમે હકીકતની બહુ નજીક છીએ. સીસીટીવીમાં ભલે કોઈ ત્રીજી વ્યક્તિ ન દેખાઈ હોય પણ અમને ફૉરેન્સિક તપાસમાં એવી માહિતી મળી છે જે તમને ખબર પણ નહીં હોય. આ માહિતી એ જ વ્યક્તિને ખબર હોય, જેણે ખૂન કર્યું હોય.” ખૂબ શબ્દ સાંભળતા જ નાયરાનો ચહેરો ફિક્કો પડી ગયો. પણ તે એક પણ શબ્દ ન બોલી. પોલીસ અધિકારીએ ફરી બોલવાનું શરૂ કર્યું, “અમે જાણીએ છીએ કે રેખાબેન કયા રોગથી પીડાતા હતા. તેમની OCDની આદતોથી તમે કેટલા ત્રાસી ગયા હતા એ પણ અમે જાણીએ છીએ.” તેમણે ફરી એકવાર પોતાની વાત રોકી અને નિકિતાની આંખોમાં જોયું. પછી બોલ્યા, “નાયરાબેન, મૃત્યુ પહેલાં રેખાબેનને સૌથી વધુ દુઃખ કયા કારણથી થયું? એ સળિયો માર્યો એ પહેલાં? અમને લાશની બાજુમાંથી લાઇટર પણ મળ્યું છે. રેખાબેનના કપડાં અડધા સળગેલા કેમ હતા? શું તમે તેમને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો?” પોલીસ અધિકારીની આ યુક્તિ અસર કરી ગઈ. હત્યામાં વપરાયેલા હથિયાર અને શરીર પર બળેલા ડાઘા વિશેની વિગતો પોલીસને ક્યાંથી મળી? આ બધુ વિચારીને નાયરાની ધીરજ ખૂટી. તેના ધબકારા વધવા લાગ્યા. નાયરાએ હવે નીચી નજર રાખીને ચોધાર આંસુએ રડતા રડતા બોલવાનું શરૂ કર્યું, તેણે જે હકીકત જણાવી એ પોલીસની ધારણા કરતાં પણ વધુ ચોંકાવનારી હતી. આ માત્ર એક હત્યા નહોતી, પણ અંગત સંબંધો અને માનવીય લાગણીનો અંત હતો. નાયરાએ કબૂલ્યું કે તેના લગ્ન પહેલા એક યુવક સાથે અફેર હતું. જો કે, લગ્ન નક્કી થયા બાદ તેણે સ્વેચ્છાએ એ સંબંધો પૂરા કરી નાખ્યા હતા. લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં તેણે એક-બે વાર પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી હતી. દીપકે આ વાતચીતના મેસેજ અને કોલ રેકોર્ડિંગ્સ પકડી પાડ્યા હતા. આ મામલે પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હતો, જેનો કોઈને ખ્યાલ નહોતો. નાયરાએ માફી માગી લીધી અને ફરી ક્યારેય આવું નહીં થાય તેવી ખાતરી આપી હતી. દીપક એક શાંત સ્વભાવનો માણસ હતો. તેથી તેણે આ વાત ઘરની અંદર જ રાખી અને કોઈને જણાવી નહોતી. પોલીસ હવે વિચારવા લાગી કે શું આ હત્યા પાછળ સાસુ-વહુનો ઝઘડો જ કારણભૂત હતો? કે પછી દીપકની માતા રેખાબેનને નાયરાના ભૂતકાળના સંબંધો વિશે ખબર પડી હશે અને એ વાત હત્યાનું મુખ્ય કારણ બની હશે? સત્ય હવે વધુ રહસ્યમય અને ગૂંચવણભર્યું બની રહ્યું હતું. નાયરાએ હવે ધ્રુજતા અવાજે, આંખોમાં ભય અને નિરાશા સાથે એ રાતની ભયાવહ કહાનીનો અંતિમ અધ્યાય ખોલી નાખ્યો. પોલીસ અધિકારીઓ જેમ-જેમ હકીકત સાંભળતા ગયા તેમ-તેમ તેમના ચહેરા પર આઘાત અને આશ્ચર્યના મિશ્ર ભાવ જોવા મળતા હતા. નાયરાએ કબૂલ્યું કે સાસુ રેખાબેનના ત્રાસથી એ કેટલી હદે પીડિત હતી. સફાઈ અને ઘરકામના ઝઘડા તો સામાન્ય હતા, પણ જ્યારે તે પ્રેગ્નન્ટ થઈ ત્યારે રેખાબેનનો માનસિક રોગ વધુ આક્રમક બન્યો. ઝઘડા થતો ત્યારે રેખાબેન ઘણીવાર દીપક અને રામનિવાસની સામે નિકિતાના ચારિત્ર્ય પર આંગળી ચીંધતા હતા. તેઓ કહેતા, “આ બાળક ગર્ભમાં ક્યાંથી લાવી છે? આ ગંદકી છે! આ બાળક દીપકનું નહીં, પણ મારા પતિ રામનિવાસનું છે. એને તો આવા જ સંબંધો ફાવે છે.” આ સાંભળીને દીપક અને રામનિવાસ હંમેશા નાયરાનો પક્ષ લેતા હતા, જેના કારણે રેખાબેનનો ગુસ્સો વધતો હતો. આ આરોપોને નાયરા ચૂપ રહીને સહન કરતી હતી.27 ઓક્ટોબર,2020ના રોજ દીપક ઓફિસે ગયો હતો અને તેના પિતા રામનિવાસ હોસ્પિટલમાં દાખલ હતા. સાંજે 4 વાગ્યાની આસપાસ રેખાબેને ઘરકામ બાબતે નાયરાને ફરી ટોણા મારવાનું શરૂ કર્યું. સૂર્ય ઢળતા સુધીમાં તો સાસુ-વહુનો ઝઘડો ઉગ્ર બન્યો. રેખાબેને ગર્ભવતી નાયરા પર અત્યંત ગંદી અને અપમાનજનક ટિપ્પણી કરી. આ શબ્દો નાયરા માટે જાણે તણખલો સાબિત થયા. તેણે રેખાબેનને આવું કહેવાની ના પાડી, પણ OCDનો શિકાર બનેલા રેખાબેન બોલવાનું ચાલુ જ રાખ્યું. નાયરાનો બધો ગુસ્સો બહાર આવી ગયો અને બંને સાસુ-વહુ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી શરૂ થઈ. આ ઝઘડાનો અવાજ સાંભળીને પાડોશીઓ ભેગા થઈ ગયા અને દરવાજો ખોલવાનું કહેવા લાગ્યા પણ બન્નેમાંથી એકેયે દરવાજો ખોલ્યો નહીં. થોડીવારમાં જ રેખાબેન એક બાજુથી લોખંડનો સળિયો લઈને નાયરાને મારવા માટે દોડી આવ્યા. નાયરાએ સળિયો પકડી લીધો. બંને વચ્ચે સળિયા માટે ખેંચતાણ થઈ. ખેંચતાણમાં રેખાબેનનું સંતુલન ગયું અને તે નીચે પડી ગયા. એ જ ક્ષણે નાયરાના હાથમાં સળિયો આવી ગયો. મહિનાઓથી જમા થયેલો ગુસ્સો અને અપમાનના બોજ નાયરાના મગજ પર હાવી થઈ ગયો. નાયરાએ પોલીસને જણાવ્યું, “મારા હાથમાં સળિયો આવતાં જ મેં રોષમાં આવીને તેમના માથામાં ચાર ઘા મારી દીધા. તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા. હું તે વખતે ડરીને મારા બેડરૂમમાં જતી રહી.” પણ વાત અહીં પૂરી ન થઈ. થોડીવાર પછી ફરીથી નાયરાને ગુસ્સો આવ્યો. તે સળિયા સાથે પાછી હોલમાં આવી. તેણે જોયું કે રેખાબેન માંડ માંડ ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નાયરાએ ફરી સળિયો ઉગામ્યો અને રેખાબેનના માથામાં બીજા ત્રણ ઘા મારી દીધા. લોહીના છાંટા દીવાલો પર ઊડ્યા, અને નાયરાનું શરીર પણ લોહીથી લથબથ થઈ ગયું. રેખાબેન તડપવા લાગ્યા અને પછી થોડી જ વારમાં શરીર શાંત થઈ ગયું. નાયરાને હવે ભાન થયું કે તેના હાથે ખૂન થઈ ગયું છે. ડરના માર્યા તરત બાથરૂમમાં ગઈ. તેણે લોહીવાળા પોતાના કપડાં ધોઈ નાખ્યા અને હાથ-પગ ધોઈને પાછી આવી. વાત આટલેથી પણ ન અટકી. પોતાના ગુનાનો પુરાવો છુપાવવા માટે અથવા વધુ ક્રૂરતાના કારણે નાયરા એક ચાદર લઈને બેઠકરૂમમાં ગઈ. તેણે રેખાબેનના મૃતદેહ પર ચાદર મૂકી. પછી માચીસ લઈને ચાદરને સળગાવી દીધી. આગની જ્વાળાઓ ભભૂકી એટલે ફરી પાછી પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો. આ દરમિયાન જ પાડોશીઓએ રામનિવાસ અને પછી તેમણે દીપકને ફોન કર્યો હતો. નાયરાએ દીપકને ઝઘડાની વાત કરી પણ હત્યાની નહીં. જ્યારે દીપક ઘરે આવ્યો અને દરવાજો ન ખૂલ્યો ત્યારે નાયરાએ જુઠ્ઠું બોલીને આખી વાતને આડેપાટે ચડાવવાનો પ્રયાસ કર્યો. મેડિકલ તપાસમાં પણ નાયરાએ કરેલી કબૂલાત પુરવાર થઈ. ઝપાઝપી દરમિયાન રેખાબેને નાયરાએ માથામાં સળિયો માર્યો હતો, જેના નિશાન મળી આવ્યા હતા. એટલું જ નહીં, પંદર દિવસ પહેલાંના ઝઘડામાં રેખાબેને નાયરાને નખ માર્યા હતા, તેના નિશાન પણ ગળા પર હતા. હત્યાના દિવસે સળિયાની ખેંચતાણ થતાં તેના હાથમાં પણ ઉઝરડા પડ્યા હતા. આ બધી ઈજાઓ દર્શાવતી હતી કે નાયરા લાંબા સમયથી કંટાળી હતી. સાસુનો ત્રાસ, ચારિત્ર્ય પરના આક્ષેપો અને ગર્ભવતી થવા પર અપમાનજનક ટિપ્પણીઓ આ બધા કારણોથી MBA સુધી ભણેલી 29 વર્ષની નાયરા હત્યારી બની ગઈ. પોલીસે નાયરાની ધરપકડ કરી અને હત્યા તથા પુરાવાનો નાશ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી આગળ વધારી. હજુ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. બીજી તરફ દીપકે 2021માં નાયરાથી છૂટાછેડા માટે કોર્ટ કેસ કર્યો હતો. જેમાં ફેમિલી કોર્ટે દીપકને આદેશ કર્યો કે 45 લાખ રૂપિયા નાયરાને ચૂકવવામાં આવે. જો કે ફેમિલી કોર્ટના આ ચુકાદાને દીપકે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેથી હાઇકોર્ટે તાજેતરમાં જ ફેમિલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપી દીધો છે.
ગારિયાધાર તાલુકાની શિવેન્દ્રનગર કેન્દ્રવર્તી શાળામાં બે દિવસીય આનંદદાયી અને જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આનંદદાયી બાળમેળા અંતર્ગત ધોરણ 1 થી 5 ના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં ચિત્રકામ, રંગ પૂરણી, કીટક કામ, છાપકામ, બાળગીત અને બાળવાર્તા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બાળકોએ આ પ્રવૃત્તિઓમાં ખૂબ આનંદ માણ્યો હતો. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં બાળકોને વિવિધ વ્યવહારિક કૌશલ્યો શીખવવામાં આવ્યા હતા. જેમાં તોરણ બનાવવા, વાંસની ટોપલી શણગારવી, કુકર ફિટ કરવું, સાયકલનું પંચર રિપેર કરવું, ગેસની બોટલ ફિટ કરવી, ચકલીના માળા બનાવવા, કાગળમાંથી વિવિધ નમૂના બનાવવા, મહેંદીની ડિઝાઇન મૂકવી, સ્માર્ટ બોર્ડમાં જી-શાળા ઓપરેટ કરવી, કપડાને ઇસ્ત્રી કરવી, કાળા પાટિયાના ડસ્ટર બનાવવા, કાથીની દોરીમાંથી પગલુછણીયા બનાવવા અને કાગળના પડીકા વાળવા જેવી પ્રવૃત્તિઓ સામેલ હતી. આ ઉપરાંત, અંધશ્રદ્ધા નિવારણ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. બાળકો સમક્ષ સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ડેટોલનું પોસ્ટર બનાવી તેની જાહેરાત બતાવી બાળકોનું મનોરંજન કરાયું હતું.સમગ્ર બાળમેળા દરમિયાન બાળકોને નવીન કૌશલ્યો શીખવા મળ્યા હતા અને તેઓએ આ પ્રવૃત્તિઓમાં ખૂબ રસ દાખવ્યો હતો.
આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત ડિઝિટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં 69,553 મતદારો મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કુલ 2,39,066 મતદારોનો ઘટાડો થશે. આણંદ જિલ્લામાં 4 નવેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશમાં કુલ 1772 બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ 7 વિધાનસભા મતવિસ્તારમાં 18,12,327 મતદારોને ફોર્મનું વિતરણ કરાયું હતું, જેમાંથી 15,73,254 મતદારોએ ફોર્મ પરત આપ્યા હતા. SIR કામગીરી દરમિયાન 69,553 મતદારોના મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત, 44,187 મતદારો BLO દ્વારા ત્રણ વાર મુલાકાત લેવા છતાં તેમના સરનામે મળ્યા નથી. 97,456 મતદારો પોતાની વિધાનસભામાંથી અન્યત્ર સ્થળાંતર થયા છે, અને 18,619 મતદારોના નામ બે જગ્યાએ નોંધાયેલા હોવાથી રદ કરવામાં આવ્યા છે. 9284 મતદારોએ ફોર્મ પરત ન આપતા, કુલ 2,39,066 મતદારોનો ઘટાડો થશે. આ ઝડપી અને શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કલેક્ટર કચેરી, આણંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 10 બુથ લેવલ ઓફિસર સુપરવાઇઝરોનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. કલેક્ટર ચૌધરીએ તેમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
વડોદરામાં 'જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ' દ્વારા 'સાહિત્ય કલરવ' શ્રેણીનો 34મો મણકો યોજાયો હતો. આ કાર્યક્રમ સ્વ. જયંતીલાલ શાહ અને સ્વ. ઉર્મિલાબેન શાહની સ્મૃતિમાં આયોજિત કરાયો હતો, જેમાં સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ ઘડતરના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શરૂઆત કવિ અને ટ્રસ્ટી દિનેશ ડોંગરેના સ્વાગત પ્રવચનથી થઈ હતી. હરીશભાઈ શાહે ટ્રસ્ટના ઉદ્દેશ્ય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંસ્થાનો મુખ્ય હેતુ સમાજમાં લુપ્ત થતી વાંચન શૈલી અને સાહિત્યિક ચર્ચાઓને પુનર્જીવિત કરવાનો છે.મુખ્ય વક્તા અને શિક્ષણવિદ પરેશ શાહે સાહિત્ય: વ્યક્તિત્વ ઘડતરનું માધ્યમ (વાંચન અને જીવનમૂલ્યો) વિષય પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓના જીવનમાં પુસ્તકોના મહત્વ પર ભાર મૂક્યો હતો.શ્રી પરેશ શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી જીવનમાં પુસ્તક સાથેની દોસ્તી સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તેમણે ઉમેર્યું કે પુસ્તકો નિસ્વાર્થ ભાવે જ્ઞાન આપે છે અને એક પુસ્તક એટલે અનેક અનુભવી મગજનો સરવાળો. તેમણે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, મહાત્મા ગાંધી અને બિલ ગેટ્સ જેવા મહાનુભાવોના ઉદાહરણો આપી વાંચનના પ્રભાવને સમજાવ્યો હતો. ગાંધીજીના જીવનમાં ‘અનટુ ધીસ લાસ્ટ’ પુસ્તકે ક્રાંતિકારી બદલાવ આણ્યો હતો, જ્યારે ડૉ. કલામનું વિજ્ઞાન પ્રત્યેનું જ્ઞાન વાંચનને આભારી હતું. તેમણે ગુણવંતભાઈ શાહ, કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડા જેવા લેખકોને યુવાનોના આઈકોન ગણાવ્યા, જે દર્શાવે છે કે યુવા વર્ગ હજુ પણ સાહિત્ય સાથે જોડાયેલો છે.વાંચનના ફાયદા ગણાવતા કહ્યું કે તેનાથી શબ્દભંડોળ વધે છે, કલ્પનાશક્તિ ખીલે છે અને એકાગ્રતા કેળવાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મોબાઈલના યુગમાં મગજને તેજસ્વી રાખવા વાંચન અનિવાર્ય છે. તેમણે કહ્યું, જેનું વાંચન વંચાયેલું હોય, તેને જીવનની મુશ્કેલીઓમાં રસ્તો શોધવા કોઈને પૂછવા જવું પડતું નથી.કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સાહિત્ય રસિકોએ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વાંચન પ્રત્યે રુચિ કેળવવાનો સંકલ્પ લીધો હતો. શ્રોતાઓએ આ સુંદર આયોજન બદલ 'જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ'ની પ્રશંસા કરી હતી.
PM શ્રીકેન્દ્રીય વિદ્યાલય, CRPF ગાંધીનગર ખાતે 53મા રાજ્ય સ્તરીય બાળ વિજ્ઞાન પ્રદર્શન અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IIT ગાંધીનગરના નિષ્ણાતોએ હાજર રહી વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ કચરો વ્યવસ્થાપન, હરિયાળી ઉર્જા, ટકાઉ કૃષિ, નવી ટેકનોલોજીઓ, આરોગ્ય અને સ્વચ્છતા, ગાણિતિક મોડેલિંગ અને જળ સંરક્ષણ જેવા મુખ્ય વિષયો પર તેમના નવીન મોડેલો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની આ સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારસરણીની પ્રશંસા કરતાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદ વિભાગના મુખ્ય અતિથિ ડેપ્યુટી કમિશનર ધર્મેન્દ્ર પાટલેએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ, નવીનતા, પર્યાવરણીય જાગૃતિ અને સંશોધન કૌશલ્ય વિકસાવવામાં અત્યંત મદદરૂપ થાય છે. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યના સંશોધકો બનવા માટે પ્રોત્સાહિત શાળામાં વ્યાવસાયિક પ્રયોગશાળાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જે વિદ્યાર્થીઓને કૌશલ્ય આધારિત શિક્ષણ માટે નવી તકો પૂરી પાડશે. આ પ્રદર્શનમાં પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે IIT ગાંધીનગરના નિષ્ણાતોની ટીમ જજીસ તરીકે હાજર રહી હતી. પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું વિષય પર યોજાયેલા સેમિનારમાં નિષ્ણાતોએ પર્યાવરણ પર પ્લાસ્ટિકની ખરાબ અસરો, તેના વિકલ્પો, રિસાયક્લિંગ અને ટકાઉ જીવનશૈલી અપનાવવાની રીતો પર માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય ડૉ. મમતા સિંહના સક્ષમ માર્ગદર્શન હેઠળ અને શાળાના વિજ્ઞાન શિક્ષકો સંતોષ કુમાર સોની અને એમ.પી. ડાબીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.
ગાંધીનગરમાં ઝવેરચંદ મેઘાણી ગુજરાત સાહિત્ય અકાદમી ભવન ખાતે સાતમી ડિસેમ્બર, રવિવારના રોજ 'મનનો જમણવાર' શીર્ષક હેઠળ એક વિશેષ સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૭૫થી વધુ સાહિત્યરસિકો, વાંચકો અને ભાવકોએ હાજરી આપી હતી. સામાન્ય રીતે ગુજરાતી કવિતાની રજૂઆતોમાં ગઝલનું પ્રભુત્વ વધુ જોવા મળે છે, પરંતુ આ કાર્યક્રમ પરંપરાથી નોખો હતો. વડોદરાના જાણીતા કવિ હરીશભાઈ શાહે ગુજરાતી ભાષાના વૈવિધ્યસભર લય અને છંદો પર આધારિત પોતાની સર્જનયાત્રા પ્રસ્તુત કરી હતી. લગભગ 50 મિનિટ ચાલેલી આ પ્રસ્તુતિમાં તેમણે નવ પ્રકારના ભિન્ન-ભિન્ન લય દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કયા ભાવમાં કયો લય શ્રેષ્ઠ રીતે કામ કરે છે તેની સમજણ સાથે તેમણે પોતાની રચનાઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં ભુજંગી, ચતુષ્કલ, પંચકલ, ષટ્કલ, સપ્તકલ, અષ્ટકલ, દોહરા, ચોપાઈ અને કટાવ જેવા વિવિધ લયમાં કવિતાનું ગાન થયું હતું. હરીશભાઈએ ભુજંગી લયમાં વસંતનો વૈભવ, અષ્ટકલમાં કિશોરાવસ્થાના પરિવર્તન અને ચતુષ્કલ લયમાં ઉનાળાના પ્રખર તાપનું વર્ણન કરતી રચનાઓ રજૂ કરી. તેમણે ઢળતી ઉંમરની વાસ્તવિકતાને હળવાશથી રજૂ કરતી પંક્તિઓ પણ સંભળાવી, જેણે સૌને સ્પર્શી લીધા હતા. દોહરા અને ચોપાઈ દ્વારા તેમણે પ્રેમ અને પ્રભુ ભક્તિના તાણાવાણા ગૂંથ્યા, જ્યારે કટાવ લયમાં ગતિશીલતાનો અનુભવ કરાવ્યો. આ પ્રકારની શાસ્ત્રીય અને લયબદ્ધ કાવ્ય રજૂઆત સૌપ્રથમ વાર જોવા મળી હતી. કાર્યક્રમના અંતે ડો. ભાગ્યેશ જ્હાએ આ નવતર પ્રયોગને બિરદાવ્યો હતો. ઉપસ્થિત સૌ ભાવકોએ આ ‘મનનો જમણવાર’ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અને ટેકનોલોજીને અપગ્રેડ કરવાના ભાગરૂપે જૂનાગઢ શહેર સહિત ડિવિઝન-1 અને ડિવિઝન-૨ માં સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. PGVCL ના અધિક્ષક એસ.એચ. રાઠોડે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી ફેઝ-૨ હેઠળ આવનારા 15 થી 20 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. હાલમાં આ મીટરનું ટેસ્ટિંગ કાર્ય ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફેઝ-1 માં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ છે, જ્યારે ફેઝ-૨ માં મુખ્યત્વે રેસિડેન્શિયલ (રહેણાંક) ગ્રાહકોને આવરી લેવામાં આવશે. સ્માર્ટ મીટર અંગેની અફવાઓ પર PGVCL દ્વારા રદિયો સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થાય તે પહેલાં આ અંગે ફેલાતી અફવાઓ અને ગ્રાહકોની મૂંઝવણને દૂર કરવા માટે PGVCL ના અધિક્ષક એસ.એચ. રાઠોડે ખાસ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સ્માર્ટ મીટર લગાવવું એટલે ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની વાત છે અને ગ્રાહકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં ભરમાવવું નહીં. આ મીટરથી ગ્રાહકોને લાભ જ થવાનો છે. વીજ કંપનીનો હેતુ ગ્રાહકોને વધુ સારી અને પારદર્શક સેવા પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત, ૨૦૨૧ માં સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ સ્માર્ટ મીટર લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્માર્ટ મીટરના ફાયદા અને બિલિંગ પ્રક્રિયાની સ્પષ્ટતા સ્માર્ટ મીટરના ફાયદા ગણાવતા તેમણે કહ્યું હતું કે, આ નવી ટેકનોલોજીથી ગ્રાહકોને તેમના મોબાઈલમાં એક એપ્લિકેશન દ્વારા દૈનિક વીજળીના વપરાશની માહિતી મળી રહેશે. આનાથી ગ્રાહક પોતાના વીજ વપરાશ પર યોગ્ય નિયંત્રણ રાખી શકશે. આ ઉપરાંત, ઘરના વાયરિંગ કે ઇલેક્ટ્રોનિક સાધનોમાં ક્યાંય પણ લીકેજ કરંટ (કરંટ લીક થવાની સમસ્યા) હશે તો તેનું નોટિફિકેશન પણ ગ્રાહકના મોબાઇલમાં તુરંત મળી જશે. આ સુવિધા ઘરમાં રાખેલા ઇલેક્ટ્રોનિક સાધનો કે વાયરિંગને કારણે થતા સંભવિત અકસ્માતોને ટાળવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. વળી, બિલિંગ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા અધિક્ષકે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરમાં કોઈ એડવાન્સ રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં. હાલમાં જે પ્રકારે ગ્રાહકોને વીજળી વપરાશનું બિલ મળે છે અને તેને ભરવા માટે ચોક્કસ સમય મળે છે, તે જ રીતે આ સ્માર્ટ મીટરમાં પણ નિયમિત બિલ આવશે અને બિલ ભરવાનો ચોક્કસ ટાઈમ મળશે. ગ્રાહકોની સંતુષ્ટિ માટે 'ચેક મીટર'ની જોગવાઈ ગ્રાહકોના મનમાં ઉદ્ભવતા કોઈપણ પ્રકારના પ્રશ્નો કે શંકાઓને દૂર કરવા માટે PGVCL દ્વારા એક વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કોઈપણ ગ્રાહકને સ્માર્ટ મીટરની કાર્યક્ષમતા અંગે મૂંઝવણ કે અવિશ્વાસ હોય, તો સ્માર્ટ મીટરની સાથે એક 'ચેક મીટર' પણ લગાવવામાં આવશે. આનાથી ગ્રાહક પોતે બંને મીટરના રીડિંગની સરખામણી કરીને ચકાસણી કરી શકશે કે બંનેની કાર્યક્ષમતા અને રીડિંગ બિલકુલ એકસરખા છે. આ વ્યવસ્થા ગ્રાહકોમાં પારદર્શિતા અને વિશ્વાસ વધારવા માટે PGVCL દ્વારા અપનાવવામાં આવી છે.
અમદાવાદ ખાતે 6 અને 7 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં સુમન હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓની ટીમે ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ ટીમની બે ખેલાડીઓ, લાડુમોર રાધિકા અને મકવાણા ખુશાલી, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામી છે. ગુજરાત કબડ્ડી એસોસિયેશન દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરની શ્રેષ્ઠ ટીમોએ ભાગ લીધો હતો. સુમન હાઈસ્કૂલની ટીમે, જે સુરત ગ્રામીણ તરફથી અન્ડર-20 જુનિયર ગર્લ્સ કેટેગરીમાં રમી રહી હતી, તેણે અસાધારણ લડાયક ભાવના અને ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટ દરમિયાન, ટીમે શરૂઆતથી જ મક્કમ મનોબળ સાથે હરીફ ટીમો સામે ઝઝૂમવાનું શરૂ કર્યું. દરેક મેચમાં ખેલાડીઓએ ચુસ્ત રક્ષણ, ઝડપી રેઈડિંગ અને વ્યૂહાત્મક રમતનો સુમેળ રજૂ કર્યો હતો. તેમની નિષ્ઠા અને દૃઢતા સ્પષ્ટપણે જોવા મળી હતી, જેના પરિણામે તેઓએ રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.આ સિદ્ધિમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ટીમની બે પ્રતિભાશાળી ખેલાડીઓ — લાડુમોર રાધિકા (11 A) અને મકવાણા ખુશાલી (10 D) — એ રાજ્ય સ્તરે ઉત્તમ પ્રદર્શન આપી રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી મેળવી છે. આ પસંદગી તેમની મહેનત, શિસ્ત અને સતત પ્રેક્ટિસનું પરિણામ છે.સુમન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મિનેષ ઠાકર, પી.ટી. શિક્ષક રાજેશભાઈ અને સમગ્ર શાળા પરિવારે આ સિદ્ધિને ઐતિહાસિક ગણાવતા બંને ખેલાડીઓ તેમજ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ સિદ્ધિએ સુરત ગ્રામીણ અને શાળા બંનેનું ગૌરવ વધાર્યું છે.રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલી રાધિકા અને ખુશાલી માટે શાળા પરિવારે તેજસ્વી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેઓ આશા વ્યક્ત કરે છે કે આ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતનું નામ રોશન કરશે.
મહેસાણા મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં નહીં આવતાં આગામી 11 મીથી મહાપાલિકાના આશરે 600 જેટલાં સફાઈ કામદારો સાવરણા હેઠા મૂકીને અચોક્કસ મુદતની હડતાળનો બૂંગિયો ફૂંકશે તેમ સફાઈ કામદાર મહામંડળના આગેવાને જણાવ્યું હતુ. તેઓએ આ અંગે આજે મ્યુનિ.કોર્પોરેશનના વહીવટદાર એવમ્ કલેક્ટર અને મહાપાલિકા ખાતે પત્રથી રજૂઆત કરી હતી. પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાળની ચીમકીમહેસાણા મહાનગરપાલિકામાં ફરજબજાવતા કાયમી સફાઈ કામદારો અને 20 દિવસના હંગામી રોજમદારોના લાંબા અરસાથી પડતર પ્રશ્નોનો કોઈ જ નીવડો મ્યુનિ.તંત્ર દ્વારા લાવવામાં આવતો નથી તેવો આક્ષેપ સફાઈ કામદાર મહામંડળના જિલ્લા પ્રમુખ અશોક વાઘેલાએ કર્યો હતો. તેમણે આક્ષેપમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકામાં હાલમાં આશરે 550થી 600 જેટલાં કાયમી અને હંગામી સફાઈ કામદારો મહેસાણા શહેરને સ્વચ્છ રાખવાની એટલે કે, ગંદકી, કચરો ઉલેચવાની સફાઈની કામગીરી કરી રહ્યાં છે. વરસો જૂના સફાઈ કામદારોને પી.એફ. વગેરેનો લાભ મળતો નથી. તેમજ ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામનાર સફાઈ કામદારના વારસદારને નોકરી પર લેવામાં આવતાં નથી, કોન્ટ્રાક્ટ પરના કામદારોને મહાપાલિકામાં સમાવવા વગેરે પડતર માગણીઓ માટે અવારનવાર મ્યુનિ. અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે. સફાઈ કામદાર મહામંડળના આગેવાનો સાથે મહાપાલિકા દ્વારા માત્ર ચર્ચાઓ જ કરવામાં આવતી હોય છે. આમ સફાઈ કામદારોના પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવતાં આગામી 11 મીના રોજથી કામદારો પોતાનીહાજરી ભરાવીને કામના સ્થળ પર હાજર રહીને સફાઈની કામગીરીથી અળગા રહીને જ્યાં સુધી માગણીઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પાડશે તેમ મહામંડળ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતુ. 'અન્ય સમાજના ભરતી કરાયેલાં કામદારો પાસે સફાઈ કરાવો'મહેસાણા મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ઈતર સમાજના લોકોની ભરતી કરવામાં આવી છે.પરંતુ તેમની પાસેથી સફાઈની કામગીરી લેવામાં આવતી નથી. તેથી આવા અન્ય સમાજના સફાઈ કામદારોને સાફ સફાઈની કામગીરી સોંપવાની માગણી સફાઈ કામદાર મહામંડળના જિલ્લા પ્રમુખ વાઘેલાએ કરી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના કોલીવાળા ગામના ખેતરમાં એક અજગર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ખેડૂતોએ તેને મૃત સમજીને વન વિભાગને જાણ કરી હતી, તાત્કાલિક ડેડીયાપાડા રેન્જના વન વિભાગને જાણ થતાં ડેડીયાપાડા જીવદયાપ્રેમી સાથે સંયુક્ત રેસ્ક્યૂ કર્યુ હતુ. અજગરને મૂઢ ઘા વાગતા બેભાન થઈ ગયો હતો. જીવદયાપ્રેમી ભાવિન વસાવા નામના વ્યક્તિ એ સી પી આર આપીને અજગરનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ વન વિભાગ અને જીવદયાપ્રેમીની ટીમ દ્વારા સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે આવેલા એક ખાનગી ક્લીનિકમાં બે ગઠિયાઓ દર્દી બનીને આવ્યા હતા જે પૈકી એકે કમરનો દુખાવો છે કહી ડોક્ટરને બતાવ્યું બાદમાં ઘડિયાળ સરસ છે કહીને ડોક્ટર અને તેમની પત્નીની નજર ચૂકવીને 5 લાખની ચોરી કરી લીધી હતી.ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.ઝોન 1 એલસીબીએ ચોરી કરનાર બંને ગઠિયાની ધરપકડ કરી છે. તબીબની નજર ચૂકવી પાંચ લાખ રૂપિયાની ચોરી કરી હતીઇન્કમટેક્સ પાસે રહેતા ડોક્ટરે પ્રવીણ આચાર્ય આરોગ્ય કેન્દ્ર નામનું ખાનગી ક્લિનિક ચલાવે છે.30 નવેમ્બરે પ્રવીણભાઈના ક્લિનિકમાં બે આધેડ વયના વ્યક્તિઓ આવ્યા હતા.બે પૈકી એક વ્યક્તિ દર્દી બનીને આવ્યો હતો જેને કમરમાં દુખાવો હોવાનું બહાનું કાઢ્યું હતું.દર્દી બની આવેલા ગઠિયાએ વૃદ્ધ ડોક્ટરના હાથમાં ઘડિયાળ જોઈને પ્રશંસા કરી હતી જે બાદ કમરનો દુખાવો બતાવવા ઊભો થયો હતો.ડોક્ટરના ટેબલમાં પડેલી 5 લાખ રોકડ રકમ મોકો મળતા જ ચોરી કરી લીધી હતી.આ ચોરી અંગે વાડજ પોલીસે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે. સીસીટીવીના આધારે બંને આરોપીની ઓળખ કરી ધરપકડ કરવામાં આવીચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામ કેદ થઈ હતી.આ અંગે ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલના LCB સ્કોડને બાતમીના મળતા બંને આરોપીની રિવરફ્રન્ટ પાસેથી ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓ રાજકુમાર શર્મા અને બ્રિજકિશોર સાબરમતી રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.બંને આરોપીઓ છૂટક કલર કામ કરે છે.આરોપીની ધરપકડ કરીને 1.50 લાખ રોકડ,મોબાઈલ,કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચોરીના પૈસામાંથી આરોપીએ મોબાઈલની ખરીદી કરીઝોન 1 ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે આરોપીઓએ મોજશોખ માટે જ ચોરી કરી હતી.આરોપીઓએ ચોરીની રકમમાંથી મોબાઈલ ખરીધ્યો હતો.બાકીના પૈસા ક્યાં વાપર્યા તે તપાસ ચાલી રહી છે.આરોપીને અન્ય કોઈ સાથે ચોરી કે ઠગાઈ કરી હોય તેની તપાસ કરવામાં આવી રહી છે.
મુળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદેસર કોલસાના 25 કુવા બુરવાની કામગીરી ચોથા દિવસે પૂર્ણ થઈ છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત તારીખ 3 ડિસેમ્બર, 2025ના રોજ નાયબ કલેક્ટર મકવાણાએ ચોટીલા સબ-ડિવિઝન હેઠળના મુળી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓ (ખાડાઓ) પર દરોડો પાડી તેમને જપ્ત કર્યા હતા. આ તમામ ગેરકાયદેસર કુવાઓને બુરવાની કામગીરી 5 ડિસેમ્બર, 2025ના રોજ વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. બે લોડર મશીનની મદદથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે આજે 9 ડિસેમ્બર, 2025ના રોજ ચોથા દિવસે પૂર્ણ થઈ. ચાર દિવસ ચાલેલી આ કામગીરીમાં ભેટ ગામના કુલ 25 ગેરકાયદેસર લાઇવ કોલસાના કુવાઓનું બુરાણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર, બી.આર.સી. ભવન તથા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સના સંયુક્ત ઉપક્રમે ચુડા તાલુકાના કરમળ ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાના 'ત્રિ-દિવસીય બાળવૈજ્ઞાનિક પ્રદર્શન-2025'નો શુભારંભ થયો છે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ વિશેષ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમની કૃતિઓને રસપૂર્વક નિહાળી હતી. પ્રદર્શનના શુભારંભ પ્રસંગે જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને પ્રદર્શિત કરવા માટે બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આ પ્લેટફોર્મ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે 'વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ (STEM)'ની થીમની પ્રશંસા કરતાં કહ્યું કે, આ પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓ રાષ્ટ્રની જરૂરિયાતોને અનુરૂપ છે. તેમણે ખાસ કરીને 'ટકાઉ ખેતી' દ્વારા ખેડૂતને મદદરૂપ થતી કૃતિઓની સરાહના કરી હતી. નાયબ મુખ્ય દંડકે પર્યાવરણની જાળવણીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને 'કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો' પરની કૃતિઓની પ્રશંસા કરી. તેમણે પ્લાસ્ટિકના ગંભીર પરિણામો સામે ચેતવણી આપીને કાગળ કે કપડાની થેલી જેવા વિકલ્પોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો. તેમણે પ્રદૂષણ ઘટાડવા અને જીવનને રોગમુક્ત રાખવા માટે 'હરિત ઊર્જા' (ગ્રીન એનર્જી) અને 'વિકસતી નવીન ટેકનોલોજી'ને આવકાર આપવાનું અનિવાર્ય ગણાવ્યું હતું. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, 2025નું વર્ષ 'શુભકામ સમય' છે, કારણ કે આ વર્ષે 'વંદે માતરમ' ગીતની રચનાને 150 વર્ષ, 'અખંડ ભારતના શિલ્પી' સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી, મહર્ષિ દયાનંદ સરસ્વતીજી દ્વારા આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષ ચાલી રહ્યું છે. આ 53માં વિજ્ઞાન પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ નાયબ મુખ્ય દંડકે સદગુરુ શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામી સહિત તમામ સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો અને તેમની તૈયારી કરાવનાર શિક્ષક મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા. પ્રદર્શન દરમિયાન, તેમણે બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા અને શુભકામના પાઠવી હતી કે, આવનારા દિવસોમાં બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગવું યોગદાન આપી દેશના વિકાસમાં ભાગીદાર બને. ત્રિ-દિવસીય વિજ્ઞાન પ્રદર્શનના અંતે વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 'વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ (STEM)'ની થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શન તા.10 ડિસેમ્બર સુધી યોજાશે, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણને લગતી અદભૂત અને જ્ઞાનવર્ધક કૃતિઓ રજૂ કરી છે. આ કાર્યક્રમમાં સદગુરુ શ્રીજીસ્વરૂપદાસજી સ્વામી તેમજ વેદાંતાચાર્ય ઈશ્વરચરણ સ્વામી અને વેદાંતાચાર્ય કૃષ્ણવલ્લભ સ્વામી જેવા સંતો-મહંતો તેમજ ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વર માધર, અગ્રણી નાથા સંઘાણી, પ્રદીપસિંહ પરમાર, રણછોડભાઈ કટારીયા સહિતના પદાધિકારીઓ, ડાયટના પ્રાચાર્ય ડો. સી. ટી. ટુંડિયા, ટીપીઓ જીપલ પટેલ સહિતના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જમીન માપણીના કામમાં લાંબી પ્રોસેસ, ફાઇલોના ચક્કર અને રાજ્યકક્ષાની મંજૂરી માટેની રાહનો અંત લાવવા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. હવે ખાનગી લાયસન્સી સર્વેયરોને લાયસન્સ જારી કરવાની સત્તા સીધા જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે. 4 ડિસેમ્બર 2025થી લાગુ થતી આ નવી પદ્ધતિ જમીન માપણીને જિલ્લા સ્તરે વધુ ઝડપી અને જવાબદાર બનાવશે. અત્યાર સુધીની વ્યવસ્થામાં અરજી સેટલમેન્ટ કમિશનર સુધી જતાં વિલંબ થતો, જેના કારણે નાગરિકોને જમીન માપણી માટે મહીનાઓ રાહ જોવી પડતી હતી. માગણી વધવા અને ફરિયાદોમાં વધારો થવાથી સરકારને આખી સિસ્ટમનું ડિસેન્ટ્રલાઇઝેશન કરવાની જરૂર પડી. સર્વેયરનું સંપૂર્ણ મોનિટરિંગ હવે કલેક્ટર કચેરી હેઠળ નવો ઠરાવ કલેક્ટરની ભૂમિકા માત્ર લાયસન્સ ઇસ્યુ કરવા સુધી મર્યાદિત નથી રાખતો. હવે જિલ્લાકક્ષાએ સર્વેયરની સંપૂર્ણ પ્રોફાઇલ વેરિફિકેશન, લાયકાત ચકાસણી, ફી નક્કી કરવી, કેસ ફાળવવા, તેમજ તેમની કામગીરી પર નજર રાખવાની જવાબદારી પણ હશે. એટલે કે, સર્વેયરનું સંપૂર્ણ મોનિટરીંગ હવે કલેક્ટર કચેરી હેઠળ આવશે. માપણીના પેન્ડિંગ કેસોમાં મોટો ઘટાડો થશેમહેસૂલ વિભાગના સૂત્રો માને છે કે આ બદલાવથી લોકલ લેવલ ડિસિઝન ઝડપથી થશે અને માપણીના પેન્ડિંગ કેસોમાં મોટો ઘટાડો થશે. જિલ્લા તંત્રને હવે તેમની જરૂરિયાત અને કેસના ભાર પ્રમાણે સર્વેયરો ફાળવવાની છૂટ મળશે, જે માપણી કામમાં ઝડપ લાવશે. સમયાંતરે રાજ્યને રિપોર્ટ મોકલશેભ્રષ્ટાચાર અટકાવવા નવા નિયમો હેઠળ પોલીસ વેરિફિકેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. દરેક લાયસન્સનો ડિજિટલ રેકોર્ડ પણ કલેક્ટર જાળવશે અને સમયાંતરે રાજ્યને રિપોર્ટ મોકલશે. રાજ્યભરમાં નવી વ્યવસ્થા અમલમાં મૂકવા માટે તમામ જિલ્લાઓએ માર્ગદર્શિકા અને રજિસ્ટરો તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. સરકારનું માનવું છે કે કેન્દ્રિયકરણથી દૂર જઈ જિલ્લાકક્ષાએ સત્તા આપવાથી નાગરિકોને સ્થાનિક સ્તરે જ ઝડપી સેવા મળશે.
બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછત દૂર કરવા અને ખેડૂતોને પૂરતો જથ્થો પૂરો પાડવા ભલામણ કરી છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પત્રમાં જણાવ્યું હતું કે, કાંકરેજ વિધાનસભા વિસ્તારના ખેડૂતોએ શિયાળુ પાકમાં ઘઉં, રાયડો, તમાકુ, બટાકા, એરંડા અને ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું છે. જોકે, તેમને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહ્યું નથી, જેના કારણે પાક ઉત્પાદનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુરિયા ખાતર વગર આ પાકો યોગ્ય રીતે થઈ શકતા નથી. અમૃતજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેમના મતવિસ્તારના ઓગડ અને કાંકરેજ તાલુકા તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પૂરતું ખાતર મળી રહ્યું નથી. તેમણે કાળાબજાર અને ખાતરના વધુ ભાવ લેવાઈ રહ્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી, જે અંગે ખેડૂતો તેમની પાસે રજૂઆતો કરી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને કાંકરેજ વિધાનસભા, ઓગડ તાલુકા, કાંકરેજ તાલુકા અને સમગ્ર જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે વિનંતી કરી છે.
ભાવનગર શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. આજે સવારે કાળિયાબીડ વિસ્તારમાં વારાહી ચોક નજીક મુખ્ય રોડ પર બે મોટા આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 15 થી 20 મિનિટ સુધી વાહનોના પૈડા થંભી ગયાશહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ વારાહી ચોક નજીક સવારના સમયે બે આખલા બાખડયા હતા.આ ઘટનામાં બંને આખલાઓએ એકબીજા પર શીંગડાથી હુમલો કર્યો હતો, જેના કારણે આસપાસના વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો. લગભગ 15-20 મિનિટ સુધી ચાલેલા આ યુદ્ધ દરમિયાન ટ્રાફિક જામ થયો હતો. આખલાઓના આતંકના કારણે રાહદારીઓ અને વાહનચાલકો પરેશાનશહેરના અનેક માર્ગો પર છેલ્લા કેટલાક મહિનાઓથી આખલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.રાહદારીઓ અને વાહન ચાલકો ને આ આખલા ટોળાબંધીમાં ફરતા હોવાથી અવર-જવર કરતા લોકોમાં ડરનો માહોલ રહે છે.આ ઘટના પગલે ભાવનગર મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર એકવાર પ્રશ્નો ઉભા કર્યો છે. પાલિકા દ્વારા દર વર્ષે ઢોર પકડવા માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, તેમ છતાં શહેરના મુખ્ય માર્ગો પર આખલાઓ અને ગાયોનું જૂથ નિયમિત દેખાતું રહે છે.
આજે સતત સાતમા દિવસે અમદાવાદ એરપોર્ પર અવરજવર કરતી ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. 8 તારીખે રાત્રે 12 વાગ્યાથી 9 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં અમદાવાદ અવરજવર કરતી 24 ફ્લાઈટ સહિત આજના દિવસની કુલ 35 ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો પરેશાન જોવા મળ્યા. આજે અરાઈવલ 20 અને ડીપાર્ચર 15 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન અરાઈવલ 18 અને ડીપાર્ચર 29 મળી કૂલ 47 ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી હતી. આજે અમદાવાદ એરપોર્ટ પર કેન્સલ થયેલી અરાઈવલ ફ્લાઈટઅગરતલા (Agartala) 961બેંગ્લોર (Bangalore) 6423બેંગ્લોર (Bangalore) 239મુંબઈ (Mumbai) 802ચેન્નઈ (Chennai) 6374નવી દિલ્હી (New Delhi) 6694હૈદરાબાદ (Hyderabad) 6338નવી દિલ્હી (New Delhi) 163મુંબઈ (Mumbai) 2347કોલકાતા (Kolkata) 245બેંગ્લોર (Bangalore) 586હૈદરાબાદ (Hyderabad) 6927દિલ્હી (Delhi) 2262ચેન્નઈ (Chennai) 244પુણે (Pune) 819મુંબઈ (Mumbai) 534ગોવા (Goa) 6419મુંબઈ (Mumbai) 6477મુંબઈ (Mumbai) 5251દિલ્હી (Delhi) 6792 આજે કેન્સલ થયેલી ઈન્ડિગોની ડીપાર્ચર ફ્લાઇટ (15)મુંબઈ (Mumbai) 5112બેંગ્લોર (Bangalore) 996મુંબઈ (Mumbai) 6794દિલ્હી (Delhi) 2209બેંગ્લોર (Bangalore) 481મુંબઈ (Mumbai) 803લખનૌ (Lucknow) 935ગુરગાંવ (Gurgaon) 6731કોઈમ્બતુર (Coimbatore) 479અગરતલા (Agartala) 966મુંબઈ (Mumbai) 2046દિલ્હી (New Delhi) 6094દિલ્હી (New Delhi) 2491પુણે (Pune) 699ગોવા (Goa) 6418
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પડતર કામોને વેગ આપવામાં આવ્યો છે. લાંબા સમયથી બંધ અને બાકી રહેલા વિકાસલક્ષી કામો પાલિકા દ્વારા ચૂંટણી નજીક આવતા એકાએક શરૂ કરવામાં આવ્યાં. રોડ-રસ્તા, ડ્રેનેજ, પેવિંગબ્લોક સહિતના કામો માટે શહેરમાં જ્યાં જોવો ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે. ધીમીગતિએ કામો ચાલતા વાહનચાલકો-રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે. શહેરના સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ, તળાજા જકાતનાકાથી શિવાજી સર્કલ, નિર્મલનગર, વાઘાવાડી રોડ, મહિલા કોલેજ સહિત અનેક વિસ્તારોમાં જ્યાં જોવો ત્યાં રોડની કામગીરી ચાલી રહી છે, જેની અસર વાહન-વ્યવહારો પર પડી રહી છે. રાહદારીઓ પણ આ તમામ કામો વહેલી તકે પૂર્ણ થાય તેવી માગ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે,શાસક પક્ષને કોર્પોરેશનની ચૂંટણીના ભણાકારા લાગી ગયા છે અને એટલે જ્યાં હોય ત્યાં ખોદકામ ચાલુ કર્યું છે. આ માત્ર ચૂંટણીલક્ષી કામો છે. પ્રજાના પૈસાનો વેડફાટ છે. તો શાસકપક્ષે ચૂંટણી ઢઢેરાના બાકી કામો કરી રહ્યાંનું જણાવી કોંગ્રેસને આડેહાથ લીધી હતી. 5 વર્ષથી ભાવનગરની જનતા પીડાઈ રહી છેઃ મનોહરસિંહ ગોહિલભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ખાસ કરીને પાંચ વર્ષમાં કામ જે ન કર્યા હોય એ અત્યારે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, એટલે એના ભણકારા આ શાસકોને લાગી ગયા છે. ભાવનગરની જનતા અત્યારે ભાજપથી ખૂબ જ નારાજ છે, જેથી શાસકપક્ષે આડાઅવળા, જ્યાં હોય ત્યાં ખાડા ખોદી કામો ચાલુ કરી દીધા છે. આ માત્ર ચૂંટણીલક્ષી કામો છે. પાંચ વર્ષથી ભાવનગરની જનતા પીડાઈ રહી છે. ભાવનગરની જનતાના ટેક્સનો દૂરઉપયોગ આ શાસકોએ જેટલો કર્યો છે એટલો અત્યાર સુધીમાં કોઈ શાસકોએ કર્યો નથી. કોઈ જાતના કોઈપણ ભાવનગરની જનતાને ટેક્સનું વળતર મળતું જ નથી. આ એની સાબિતી છે. ‘ગ્રાઉન્ડ ઉપર લોકો ખૂબ જ ભાજપથી પરેશાન’ અત્યારે ભાવનગરની જનતા ભાજપથી ખૂબ જ નારાજ હોવાથી તાબડતોબ આવી કામગીરી ખાલી ખોટી ઉતાવળથી કરી અને બતાવે છે, પણ એવું કંઈ છે જ નહીં. ગ્રાઉન્ડ ઉપર અત્યારે લોકો ખૂબ જ ભાજપથી પરેશાન છે. જ્યાં હોય ત્યાં અત્યારે રાહદારીઓ પરેશાન છે. પેલા રોડ બનાવે તો ત્યાં ડ્રેનેજલાઈન બાકી રાખી દે છે. ખોદો તો પહેલા દરેક ડિપાર્ટમેન્ટની એનઓસી લઈને કામગીરી કરવી જોઈએ. આ પ્રજાના પૈસા છે, તમારા ખીચાના પૈસા નથી. આ લોકોના ટેક્સના પૈસાથી તમે કામ કરાવો છો. તમે કોઈ ભાવનગરવાસીઓ ઉપર ઉપકાર નથી કરતા, તમારી ફરજ છે આ કામ કરવાની. શહેરમાં રોડના 327 કરોડના કામો ચાલુ છેઃ સ્ટેન્ડિંગ ચેરમેનઆ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાએ જણાવ્યું કે, ભાવનગર મહાનગરપાલિકા 2047ને ધ્યાને રાખી શહેરમાં મુખ્યત્વે ડ્રેનેજનું તિલકનગરથી લઈને શિવાજી સર્કલ, શિવાજી સર્કલથી દુઃખી શ્યામ અને લીલા સર્કલ સુધીનું જે ચોમાસામાં કામ બંધ રહ્યું તેને શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસામાં રોડ પણ તૂટી ગયા હોય, 20 ફૂટ ઊંડાઈએ ડ્રેનેજનું કામ બંધ રાખવામાં આવ્યું હતું. જેમાં સંસ્કાર મંડળવાળા રોડ પર મુખ્યત્વે લીંબડીયું રૂપાણી થઈ દીવડીવાળા ખાચામાં થઈને આપણે આગળ કામ લીધેલું છે, એ પણ ચોમાસા દરમિયાન બંધ કર્યું હતું, જે શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં શહેરમાં રોડના 327 કરોડના કામો ચાલુ છે. મહિલા કોલેજ વાઇટ ટોપિંગ રોડ પૂર્ણ કર્યો છે, એ જ રીતે મંત્રેશ કોમ્પલેક્ષનું કામ પ્રગતિમાં છે. ‘શહેરભરમાં ડ્રેનેજના 219 કરોડના કામ ચાલુ’ તળાજા જકાતનાકાથી શરૂ કરીને ટોપથ્રી સુધીનો પીક્યુસી રોડ લોકોની વર્ષોની યાત્રાઓ પછી પણ ફોર ટ્રેક રોડ કરી લોકો માટે ખુલ્લો મૂકી લોકો ઉપયોગ કરી રહ્યા છે. આ જ રીતે સંસ્કાર મંડળ ચોકથી સહકારી આર્ટ સુધીના વાઈટ ટોપિંગનું કામ થઈ રહ્યું છે. તે જ રીતે ડ્રેનેજના 219 કરોડના કામ ચાલુ છે. ભાવનગરની પ્રાથમિક જરૂરિયાત ધ્યાનમાં લઇ આગામી દિવસોની અંદર પાણી માટે થઈને જે રીતે ફિલ્ટર વિભાગ અને વોટરવર્ક્સ વિભાગના 150 કરોડના કામો ચાલુ છે, આગામી દિવસોમાં પાણીની ઘટ ન પડે એના માટે થઈ નવી ટાંકી, નવા ફિલ્ટરો આ બધી જ વસ્તુઓ જોવા જઈએ તો અનેક ભાગોની અંદર આ બધા કામો ચાલુ છે. જનરલ ક્રમમાં લોકોને થોડી મુશ્કેલી પડી હોય પણ સ્વાભાવિક ક્રમ છે કે આવડું મોટું કામ થઈ રહ્યું છે, ત્યારે થોડી વાર પણ લાગી હોય. તો અત્યારે ચોમાસાની સિઝન જેવી પૂરી થઈ છે, તે પછીનું લગભગ દોઢ મહિનાથી બધા જ કામો ફુલ પ્રગતિએ અમે કરાવી રહ્યા છીએ. ‘ભાવનગરમાં કોંગ્રેસને લોકોએ બેહાલ કરી’શહેર કોગ્રેશ પ્રમુખે કરેલ પ્રહારો અંગે સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું કે, ભાવનગર મહાનગરની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. કોંગ્રેસ કાયમ માટે થઈને ભાવનગર એક નહિ, પરંતુ સમગ્ર દેશની અંદર વિકાસ વિરોધી રહી છે. કોંગ્રેસને જે રીતે લોકોએ જાકારો આપ્યો છે, ભાવનગરની અંદર ખાસ કરીને કોંગ્રેસને લોકોએ બેહાલ કરી છે. કોંગ્રેસના નેતાઓ જે રીતે સામાન્ય બાબતને લઈને ભાવનગરને ગુજરાતમાં બદનામ કરવા જઈ રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે કે, ચૂંટણીલક્ષી એજન્ડા છે. લોકો સારી રીતે જાણે છે. ભાવનગરના વિકાસમાં સહયોગ આપવાના બદલે ભાવનગરને વખોડવાનું કામ, ભાવનગરને બદનામ કરવાનું કામ કરે ત્યારે આગામી દિવસોમાં ભાવનગરની જનતા ક્યારેય સાખી નહીં લે. ‘ચોમાસામાં થોડી મુશ્કેલી પડી છે, તેના માટે દિલગીર છીએ’આગામી દિવસોમાં જે વિકાસના કામો થયા છે, સારી ભેટ જનતા જાણી રહી છે. મેં કીધું એમ, ચોમાસા દરમિયાન થોડી મુશ્કેલી પડી છે, એના માટે દિલગીર પણ છીએ. ભાવનગરની ચૂંટણીલક્ષી કોઈ એજન્ડાથી અમે કામ કરીએ એવું નથી. આજથી પાંચ વર્ષ પહેલા ચૂંટણી ઢંઢેરામાં જે બોલેલા છીએ, આ બધી જ વસ્તુઓ ભાવનગરની જનતાને અમે આપ્યા છીએ અને આપી રહ્યા છીએ. ‘કોંગ્રેસ એકવાર ચૂંટણીનો ઢંઢેરો પકડે અને વાંચે’આ કોંગ્રેસના નેતાઓને આપના માધ્યમથી મારે કહેવું છે કે, એકવાર ચૂંટણીનો ઢંઢેરો પકડે અને એને વાંચે, સમજે અને પછી એમના વિધાનો અથવા એમની વાત મૂકે. આ ભાવનગરની જનતા છે અને ભાવનગરની જનતા વિકાસને સારી રીતે સમજે છે, જાણે છે અને જોઈ પણ રહી છે. જે રીતે ભાવનગરની અંદર આજે 1400થી વધારે કરોડના કામો ભાવનગરની સુખાકારી માટે થઈ રહ્યા છે, ત્યારે ભાવનગરની સુખાકારી માટે થનાર કામોને લોકો આવકારી રહ્યા છે. નાની-મોટી મુશ્કેલીઓમાં પણ સહકાર આપી રહ્યા છે અને નાની-મોટી મુશ્કેલીઓ અમારી સામે પણ આવી છે, ત્યારે એને સોલ કરવા માટેના અમારા પ્રયાસ રહ્યા છે.
પાટણમાં વેસ્ટ ઝોન વોલીબોલ સ્પર્ધાની તૈયારીઓ પૂર્ણ:10થી 14 ડિસેમ્બર, 93 ટીમોના 1300 ખેલાડીઓ ભાગ લેશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના નેજા હેઠળ વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી વુમન્સ વોલીબોલ સ્પર્ધા 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 10 થી 14 ડિસેમ્બર દરમિયાન યુનિવર્સિટી કેમ્પસના વોલીબોલ કોર્ટ ખાતે યોજાશે. આ વુમન્સ વોલીબોલ સ્પર્ધામાં વેસ્ટ ઝોનના રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાથી કુલ 93 ટીમો ભાગ લેશે. સ્પર્ધા નોકઆઉટ કમ લીગ પદ્ધતિથી રમાશે. કુલ 93 ટીમોના 1300 ખેલાડીઓ ઉપરાંત 186 ટીમ મેનેજર અને કોચ પણ આ સ્પર્ધામાં જોડાશે. આ સ્પર્ધામાંથી ટોચની ચાર ટીમો આંતર યુનિવર્સિટી ઇન્ટર ઝોનલ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025-26માં ભાગ લેવા ચેન્નાઈ જશે. આ ચેમ્પિયનશિપ 20 થી 24 ડિસેમ્બર દરમિયાન એસ.આર.એમ. યુનિવર્સિટી, ચેન્નાઈ ખાતે યોજાશે. પાટણ યુનિવર્સિટી ખાતે યોજાનાર આ મહામુકાબલાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, તેમ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. નામદાર હાઇકોર્ટના ચુકાદા બાદ પણ લઘુતમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે. તેમજ હજુ કામ જો સરકાર માંગણીઓને નહીં સ્વીકારે તો રણચંડી બનીને સરકારની ખુરશી હલાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પડતર પ્રશ્નો મુદ્દે એક દિવસના પ્રતીક ઉપવાસરાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો અમદાવાદ આવી પહોંચ્યા છે. બે દિવસના પ્રતીક ઉપવાસ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ માત્ર એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી ગઈ છે. એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસીને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી રહી છે. તાનાશાહી બંધ કરોના નારા લગાવવામાં આવ્યાતાનાશાહી બંધ કરો ના નારા લગાવી આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ સરકાર કુપોષણની વાતો કરે છે પરંતુ બાળકોને આપવામાં આવતા ભોજન માટે યોગ્ય ભાવ આપવામાં ન આવતા હોવાનો પણ આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે. આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે બાળક દીઠ શાકભાજીના 10 પૈસા અને તુવેર દાળના 60 પૈસા, ફ્રુટના બાળક દીઠ 3 રૂપિયા આપવામાં આવે છે હવે આટલા ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર કરી શકીએ છીએ. તેમજ આશા વર્કર બહેનોને અને આંગણવાડી વર્કર બહેનોને ઓનલાઈન કામગીરી સોંપવામાં આવી છે. દરેક કામગીરી ઓનલાઈન કરવાની હોવાથી મોબાઈલ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. મોબાઈલ આપવામાં ન આવતા ડિજિટલ કામગીરી કરવામાં બહેનોને તકલીફ પડી રહી છે. જેથી વહેલી તકે ડિજિટલ કામગીરી કરવા માટે મોબાઇલ આપવામાં તેવી માંગ કરવામાં આવી છે. હાઈકોર્ટના ચુકાદાને પાંચ મહિના થયા છતા વેતનમાં વધારો ન થતા રોષસૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી સંગીતાબેન રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી બહેનો આજે અહીં આવ્યા છીએ. હવે બહેનો આવેદનપત્ર આપી રેલી કરી અને આ પ્રકારના પ્રોગ્રામ કરી થાકી ગઈ છે. હાઇકોર્ટ નો ચુકાદો આવ્યો છે કે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવા. હાઇકોર્ટના ચુકાદાબાદ પાંચ મહિના થયા છતાં સરકાર તેનો અમલ કરતી નથી. તેમજ કામગીરી પણ દિવસેને દિવસે વધારી રહી છે. સરકાર બહેનો પાસેથી સૌથી વધુ કામગીરી લઈ રહી છે. મોબાઈલની કામગીરી વધારી દીધી છે પરંતુ મોબાઇલ આપવામાં આવતા નથી. ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે પરંતુ પાયાની કામગીરી કરતી જે બહેનો છે તેનું જ શોષણ કરવામાં આવે છે. જેથી અમે આજે ધરણા પર ઉતર્યા છીએ. અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા છે છતાં સરકાર મચક દેતી નથી જેથી આજે અમે ધરણા પ્રદર્શન પર ઉતર્યા છીએ. બજારમાં તુવેરદાળના 160 રૂપિયા, બહેનોને 80 મળે તો કુપોષણ કઈ રીતે દૂર થાય?'વધુમાં સંગીતાબેન રાવલે જણાવ્યું હતું કે, પાયાની કામગીરી અને સરકારની નાનામાં નાની યોજના છેવાડાના ગામ સુધી પહોંચાડીએ છીએ. છતાં સરકાર અન્ય ખર્ચ કરવામાં કરોડો રૂપિયા વાપરે છે પરંતુ બહેનોને વેતન આપવાનું આવે ત્યારે સરકાર મૂઠી બંધ કરી દે છે. સરકારની તાનાશાહી વધી રહી છે અમને તરણા કરવાની પણ પરવાનગી આપવામાં આવતી નથી. સરકાર વિનંતી સમજે તો વિનંતી અને ધમકી સમજે તો ધમકી જો સરકાર નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. એક તરફ સરકાર વાત કુપોષણની કરે છે પરંતુ મોંઘવારીમાં બાળકોને ફળ આપવાના ત્રણ રૂપિયા અને શાકભાજીના 10 પૈસા બાળક દીઠ આપવામાં આવે છે. બજારમાં તુવેરદાળના ભાવ 160 રૂપિયા છે તો બહેનોને 80 રૂપિયા આપવામાં આવે છે. તો આ ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર થશે તો સૌથી મોટો સવાલ છે. કેન્દ્ર સરકારે 2018 પછી કોઈ પગાર વધારો કર્યો નથી જેથી પગાર વધારો કરવામાં આવે તેવી અમારી માંગ છે. ગુજરાત ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે, સરકારની તાનાશાહીથી આંગણવાડી અને આશા વર્કર બહેનો ત્રાહીમામ થઈ ગયા છે. સરકાર મહિલા સશક્તિકરણના નામે તાયફા કરે છે પરંતુ પાયાનું કામ કરનારી આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનો અત્યાર રોડ પર ઉતરી ગઈ છે. મોબાઈલ આપવામાં આવ્યા છે તે પણ બંધ હાલત છે. દિવસે અને દિવસે ઑનલાઇન કામગીરી વધારતા કેટલીક બહેનોએ આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ નવા આપે અને અમારી છ સેવા મારી જાય છે. વધારાની કામગીરી પણ દિવસેને દિવસે અમને સોંપી દેવામાં આવે છે. કોઈ કામગીરી ન કરે તે આંગણવાડી વર્કર બહેનો કરે છે. જેથી સરકાર આ બધામાંથી અમને મુક્તિ આપે અને જો નહીં થાય તો બહેનો રણચંડી બનીને રોડ પર ઉતરીને સરકારની ખુરશી હલાવી દેશે. મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સેવા કરતી આંગણવાડી વર્કર અને આશા વર્કરની મુખ્ય માંગણી 1. નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ લઘુતમ વેતન આપો તથા કાયમી દરજ્જો આપો 2. ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ આપો 3. બાળકોના પોષણહારના દરોમાં સો ટકા વધારો કરો 4. લાભાર્થીને નુકશાન કરતા અને ફ્રોડને પ્રોત્સાહિત કરતી OTP અને FRS સિસ્ટમ બંધ કરો. 5. નિવૃત્તિ વયમર્યાદા 60 કરો 6. એક વખત બદલીની તક આપો 7. વધારાની તમામ કામગીરી આપવાનું બંધ કરો 8. તમામ પ્રકારના બીલો ની નિયમિત ચુકવણી કરો આરોગ્ય વિભાગ તળે સેવા બજાવતી આશા વર્કરો અને ફેસિલેટરોની મુખ્ય માગણી 1. આશા વર્કર તથા ફેસીલેટરોને લઘુતમ વેતન આપો અને કાયમી કરો2. આશા વર્કરોના કામના કલાકો નક્કી કરો 3. ડિજિટલ કામગીરી માટે સક્ષમ મોબાઇલ આપો 4. કરેલ કામનુ ઈન્સેન્ટિવ દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ચૂકવી આપો 5. આશા વર્કર તથા ફેસીલેટર બહેનોને ગ્રચ્યુટી આપો. 6. દર વર્ષે બે જોડી ડ્રેસ નિયમિત આપો અને તેની સિલાઈ આપો. 7. ઇનસેટિવમાં રૂપિયા 1500 નો વધારો કરતી સંસદમાં કરેલ જાહેરાતનો અમલ કરો
ગુજરાતમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 11થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતે 11 ડિસેમ્બરે આ ભવ્ય મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરશે. આ મેળામાં દરેક જિલ્લામાં મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરવામાં આવશે. મોટા જિલ્લાઓમાં 100 અને નાના જિલ્લાઓમાં 50 સ્ટોલ ઉભા થશે, જેમાં લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, SHGs, મહિલા સ્ટાર્ટઅપ્સ, સહકારી સંસ્થાઓ અને મહિલા ખેડૂતો પોતાના ઉત્પાદનો અને નવીનતાઓ રજૂ કરશે. • સ્વદેશી પ્રદર્શન પેવેલિયન: હસ્તકલા, મિલેટ પ્રોડક્ટ, ફૂડ પ્રોસેસિંગ સહિતના સ્ટોલ સાથે જીવંત ડેમો અને વેચાણ વ્યવસ્થા • પ્રેરણાત્મક ટોક શો અને સન્માન સમારોહ: સફળ મહિલા નેતાઓ અને ઉદ્યોગસાહસિકો સાથે ચર્ચા, તથા શ્રેષ્ઠ મહિલા કાર્યકર્તાઓનું સન્માન • બિઝનેસ-ટુ-બિઝનેસ લિન્કેજ: બાયર-સેલર મીટ અને ઈ-કોમર્સ જોડાણ દ્વારા માર્કેટ એક્સેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, સ્વદેશી સશક્તિકરણ અને મહિલા-સંચાલિત વિકાસ ના વિઝનને આગળ ધપાવતા આ મેળા મારફતે રાજ્યની લાખો મહિલાઓને નવી તક, માર્ગદર્શન અને આર્થિક શક્તિ મળશે. આ પહેલ સુશાસન સપ્તાહ, હર ઘર સ્વદેશી અને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ ના રોડમેપ સાથે સુસંગત બનીને, મહિલા-આગેવાની હેઠળના સૂક્ષ્મ ઉદ્યોગોને મજબૂત બનાવવા તથા નાણાકીય-ડિજિટલ સશક્તિકરણને વેગ આપશે.
જામનગરમાં નશાનો નાશ:30 લાખના દારૂના જથ્થા પર પોલીસ અને રેલવે વિભાગે બુલડોઝર ફેરવ્યું
જામનગરમાં આજે રૂ. 30 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં બુલડોઝર ફેરવીને આ કાર્યવાહી કરાઈ હતી. આ દારૂનો જથ્થો જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન (A, B, C) અને રેલવે વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષથી કબજે કરવામાં આવ્યો હતો. કુલ 8741 નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી અદિતિ વર્ષનેય અને શહેર DYSP જે.એન. ઝાલાની રાહબરી હેઠળ કરવામાં આવી હતી. શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન અને રેલવે પોલીસની ટીમ પણ હાજર રહી હતી.
દિવની બસના 3 ડ્રાઇવરો અને 1 કંડકટર, બરોડા બસના 2 ડ્રાઇવરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે શહેરના એસ.ટી. વર્કશોપમાં રેડ કરીને ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વિવિધ લોખંડની પેટીઓ અને થેલાઓમાંથી કુલ રૂ.1,42,750 ની કિંમતની 90 નંગ મોટી બોટલો, 18 નંગ નાની બોટલો/ચપટા અને 1 બિયર ટીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે સિક્યુરિટી ગાર્ડને ઝડપી લીધો હતો જ્યારે દિવની બસના 3 ડ્રાઇવરો અને 1 કંડકટર, બરોડા બસના 2 ડ્રાઇવરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે, બાતમી આધારે પોલીસની કાર્યવાહી પોલીસ કોન્સ્ટેબલ કુલદિપસિંહ રાણા તથા સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે એસ.ટી. વર્કશોપ ખાતે લોખંડની પેટીઓમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો છે. બાતમીના આધારે, નીલમબાગ પોલીસે ડેપો મેનેજર સંદિપ ધીરજભાઇ સુથારને સાથે રાખી બે પંચોની હાજરીમાં વર્કશોપના દક્ષિણ ભાગમાં રેડ કરી હતી. તાળા તોડીને દારૂનો જથ્થો મળ્યો પોલીસે ખુલ્લામાં પડેલી અને તાળા મારેલી વિવિધ કલરની લોખંડની પેટીઓના તાળા તોડ્યા હતા. આ ઉપરાંત, મીકેનિક ટોયલેટ બ્લોકના બાથરૂમનો દરવાજો તોડીને પણ બે કાપડના થેલા જપ્ત કર્યા હતા. આ પેટીઓ અને થેલાઓમાંથી રોયલ સ્ટેગ, બ્લેન્ડર્સ પ્રાઇડ, ઓલ્ડ મન્ક, સિગ્નેચર અને બાગપાઇપર જેવી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે કર્યો પર્દાફાશ રેડ દરમિયાન સ્થળ પર હાજર સિક્યુરિટી ગાર્ડ હીરા ઉર્ફે કિશન બચુભાઇ ગોહેલની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે, તે છેલ્લા પાંચ મહિનાથી આ નોકરી કરે છે અને બસના ડ્રાઇવરો/કંડક્ટરો પાસેથી દારૂની છૂટક બોટલો લઈને પોતાનો નફો રાખીને વેચાણ કરતો હતો. તેના નિવેદનના આધારે, પોલીસે દારૂ સપ્લાય કરનાર અને દારૂ રાખનાર કુલ 7 એસ.ટી.કર્મીઓના નામ મેળવ્યા, 8 શખ્સોઓ સામે ગુનો નોંધાયો ડેપો મેનેજર અને સ્ટેન્ડ ઇન્ચાર્જના સહયોગથી, પોલીસે દારૂ રાખનાર/વેચાણ કરનાર અને તેમાં સંડોવાયેલા નીચે મુજબના કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116 (બી), 81 અને 120(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં હીરા ઉર્ફે કિશન બચુભાઇ ગોહેલ (સિક્યુરિટી ગાર્ડ),વિરેન્દ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા (બરોડા બસ ડ્રાઇવર), અર્જુનસિંહ ચંદ્રસિંહ ગોહિલ (દીવ બસ ડ્રાઇવર), નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (દીવ બસ ડ્રાઇવર), મિતુલભાઇ એચ. ખેરડીયા (બરોડા બસ ડ્રાઇવર), અજીતસિંહ જાડેજા (દીવ બસ કંડક્ટર), હીરેન્દ્રસિંહ નટવરસિંહ પઢિયાર (દીવ બસ ડ્રાઇવર - જેની પેટીમાંથી દારૂ મળ્યો) તથા રમેશભાઇ મેઘજીભાઇ અંજારા (જેની પેટીમાંથી દારૂ મળ્યો) સહિત પોલીસે કુલ રૂ.1,42,750 ની કિંમતનો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. ડ્રાઇવરો અને કંડકટર ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમા વિનોદ ટેક્સટાઈલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એક સાથે 35 સ્થળો પર સર્ચ હાથ ધરાતા ટેક્સટાઈલ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં ભય ફેલાયો છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓની રેડ શરૂ થઇ છે. અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં આવકવેરા વિભાગના દરોડા પડયા છે. આ સર્ચમાં 150થી વધુ અધિકારીઓ જોડાયા છે. અમદાવાદમાં સેટેલાઈટ, નારોલ પીરાણા, સૈજપુર અને પીપળજમાં આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે.
વડોદરા આર.ટી.ઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લીકની સગવડતા માટે ટુ વ્હીલર, ફોર વ્હીલર, થી વ્હીલર, અને ટ્રાન્સ્પોર્ટ વર્ગના વાહનોના પસંદગીના ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રિ-ઓક્શન શરૂ કરવામાં આવી રહ્યું છે. વાહન માલિકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી રિ-ઓક્શનમાં ભાગ લઇ શકશેઆ રિ-ઓક્શનમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર, અને ટ્રાન્સ્પોર્ટ વર્ગના વાહનોની સીરીઝોના નંબરો માટે આગામી તા.15/12/2025 ના રોજ રિ-ઓક્શન માટે શરૂ કરવામાં આવશે. જેથી ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http://parivahan.gov.in/fency પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી રિ-ઓક્શનમાં ભાગ લઇ શકશે. રિ-ઓક્શનના નિયમોનુસાર આગામી તા.15-12-2025 સાંજે 04 કલાકથી તા.17-12-2025 સાંજે 4 વાગ્યા સુધીમાં રિ-ઓક્શન માટે ઓનલાઇન ફોર્મ રજીસ્ટ્રેશન કરી એપ્લિકેશન કરવાની રહેશે. તા.17-12-2025ના સાંજે 04થી તા.19-12-2028ના સાંજે 4 વાગ્યા સુધી બીડીંગ ઓપન રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી 7 દિવસના અંદરના CNA ફોર્મ જમાં કરાવનાર અરજદારો જ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે તથા સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાના કારણે પશ્ચિમ રેલવે દ્વારા 9 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેના પગલે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરોને ટ્રેન મારફતે તેમના સિટી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. બે દિવસમાં આઠ ટ્રીપમાં મુસાફરોએ લાભ લીધો છે. અનુભવ સક્સેના (જનસંપર્ક અધિકારી, વડોદરા મંડળ પશ્ચિમ રેલવે) એ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે હંમેશા તત્પર રહે છે. ફ્લાઈટ કેન્સલ થઈ રહી હતી, જેના કારણે વધારાની ભીડ જોવા મળી. વધારાની ભીડને જોતાં અને મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ હંમેશની જેમ સ્પેશિયલ ટ્રેનો જે અમારી નિયમિત ટ્રેનો ઉપરાંત હોય છે, તેને ચલાવવાનો નિર્ણય કર્યો અને અત્યાર સુધીમાં અમે પશ્ચિમ રેલવેએ 9 ટ્રેનોની લગભગ 40 ટ્રીપ નોટિફાઈડ કરી ચૂક્યા છીએ. ફ્લાઈટ કેન્સલ થાય તો વૈકલ્પિક માર્ગ તરીકે રેલવે દ્વારા યાત્રા કરી શકેવધુમાં તેમણે જણાવ્યું કે આ ટ્રેનો મુંબઈથી દિલ્હી તરફ જઈ રહી છે. શકુર બસ્તી, નવી દિલ્હી અને દુર્ગાપુરા, ભિવાડી, આ ડેસ્ટિનેશન માટે અમે તેમને નોટિફાઈડ કર્યા છે, જે ગુજરાત અને રાજસ્થાનને કવર કરીને જઈ રહી છે. એક ટ્રેન વલસાડથી બિલાસપુર પણ છે. જેની ફ્લાઈટ કેન્સલ થઈ છે, તે આ પરિસ્થિતિને જોતાં એક વૈકલ્પિક માર્ગ તરીકે રેલવે દ્વારા પણ યાત્રા કરી શકે છે. પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છીએ, જરૂર પડશે તો સંખ્યા વધારીશુંટ્રેન મુંબઈથી ચાલ્યા પછી વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અમે સ્ટોપેજ આપેલું છે. ત્યારબાદ રતલામ થઈને જયપુર, કિશનગઢ એટલે કે રાજસ્થાન તરફ જઈને પછી આ ટ્રેન દિલ્હી પહોંચે છે. તો ગુજરાત અને રાજસ્થાનને કવર કરીને ટ્રેન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચી રહી છે. ટ્રેનો ત્રણથી ચાર દિવસ માટે નોટિફાય કરી છે. અમે પરિસ્થિતિનું મોનિટરિંગ પણ કરી રહ્યા છીએ. જો જરૂર પડશે તો અમે તેમની સંખ્યા પણ વધારીશું. એક ટ્રેન અમારી જે વલસાડથી લઈને બિલાસપુર જઈ રહી છે, તે 31 ડિસેમ્બર સુધી અમે નોટિફાય કરી છે. ભારતીય રેલવેએ એરપોર્ટ પર સ્પેશિયલ કાઉન્ટર્સ ખોલ્યાજે મુસાફરોની ફ્લાઇટ કેન્સલ થઈ હોય તેમની સહાયતા માટે ભારતીય રેલવેએ એરપોર્ટ પર સ્પેશિયલ કાઉન્ટર્સ ખોલ્યા છે. જેથી મુસાફરો જો રેલવેને વૈકલ્પિક યાત્રાના વિકલ્પ તરીકે પસંદ કરે તો અમે તેમને સહાયતા ઉપલબ્ધ કરાવીએ છીએ અને તેમને સ્પેશિયલ ટ્રેનો વિશે માહિતી આપીએ છીએ. જેથી તેઓ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે. રેગ્યુલર ટ્રેન કરતાં સ્પેશિયલ ટ્રેનનું ભાડું 1.2%થી 1.9% સુધી વધુસ્પેશિયલ ટ્રેનો છે, તેનું ભાડું (ફેર સ્ટ્રક્ચર) સામાન્ય ટ્રેન કરતાં થોડું અલગ હોય છે અને અમે ફેસ્ટિવલ સિઝન હોય છે, તેમાં પણ સ્પેશિયલ ટ્રેનો ચલાવીએ છીએ, અને આ નિયમિત ટ્રેનો ઉપરાંતની સ્પેશિયલ ટ્રેનો છે. તો અમારું જે ભાડું છે, જે અમે સ્પેશિયલ ટ્રેનો ફેસ્ટિવલ સિઝનમાં ચલાવીએ છીએ, તેના બરાબર જ હોય છે. રેગ્યુલર ટ્રેન કરતાં સ્પેશિયલ ટ્રેનનું ભાડું 1.2%થી લઈને 1.9% સુધી વધુ હોય છે. જેમ કે મુંબઈથી દિલ્હીનું રેગ્યુલર ટ્રેનનું ભાડું 1,540 છે. જ્યારે આ જ રુટ પર સ્પેશિયલ ટ્રેનનું ભાડું 1925 રૂપિયા હોય છે. સ્પેશિયલ ટ્રેનની ટિકિટ બુકિંગ કરવા માટે શું પ્રોસેસજેમ તમે તમારી નિયમિત ટિકિટ બુક કરો છો, સ્પેશિયલ ટ્રેનોની બુકિંગ પણ તે જ રીતે થાય છે. તમે અમારા જે આરક્ષણ કેન્દ્ર છે ત્યાં જઈને પણ ટિકિટ બુક કરી શકો છો અને IRCTCની વેબસાઇટ પર પણ તમે લોગિન કરીને ટિકિટ બુક કરી શકો છો. 1 બાંદ્રા ટર્મિનસ-દુર્ગાપુરા-મદાર વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ટ્રેન નં. 09604/09603 બાંદ્રા ટર્મિનસ-દુર્ગાપુરા-મદાર સુપરફાસ્ટ સ્પેશિયલ [02 ટ્રિપ્સ] ટ્રેન નં. 09604 બાંદ્રા ટર્મિનસ-દુર્ગાપુરા સુપરફાસ્ટ સ્પેશિયલ- મંગળવાર, 9 ડિસેમ્બર, 2025ના રોજ બાંદ્રા ટર્મિનસથી 19:25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 15:10 વાગ્યે દુર્ગાપુરા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09603 મદર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 8 ડિસેમ્બર, 2025ના રોજ મદારથી 18:45 વાગ્યે ઉપડી હતી અને બીજા દિવસે 16:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. રસ્તામાં, ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા અને સવાઈ માધોપુર સ્ટેશનો પર ઉભી રહેશે. મદારથી શરૂ થતી ટ્રેન નંબર 09603 કિશનગઢ, જયપુર અને દુર્ગાપુરા સ્ટેશનો પર વધારાની ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. 2 મુંબઈ સેન્ટ્રલ અને નવી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન ટ્રેન નં. 04003/04004 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ (02 ટ્રિપ્સ) ટ્રેન નં. 04003 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી સ્પેશિયલ- સોમવાર, 8 ડિસેમ્બર, 2025ના રોજ 23:30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઉપડી અને બીજા દિવસે 20:50 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 04004 નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન- રવિવાર, 7 ડિસેમ્બરના રોજ 22:40 વાગ્યે નવી દિલ્હીથી ઉપડી અને બીજા દિવસે 21:00 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, નાગદા, કોટા અને મથુરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-3 ટાયર (ઇકોનોમી) કોચનો સમાવેશ થાય છે. 3 ટ્રેન નં. 04001/04002 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ [2 ટ્રિપ્સ] ટ્રેન નં. 04001 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી સ્પેશિયલ- રવિવાર, 7 ડિસેમ્બરના રોજ મુંબઈ સેન્ટ્રલથી 23.30 વાગ્યે ઉપડી અને બીજા દિવસે 20.50 વાગ્યે નવી દિલ્હી પહોંચી હતી. ટ્રેન નં. 04002 નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ- 6 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીથી 22:40 વાગ્યે ઉપડી અને બીજા દિવસે 21:00 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, નાગદા, કોટા અને મથુરા સ્ટેશનો પર રોકાઈ હતી. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટાયર અને એસી-3 ટાયર કોચનો સમાવેશ થાય છે. 4 ટ્રેન નં. 09001/09002 મુંબઈ સેન્ટ્રલ-ભિવાની સુપરફાસ્ટ (દ્વિ-સાપ્તાહિક) સ્પેશિયલ [14 ટ્રિપ્સ] ટ્રેન નં. 09001 મુંબઈ સેન્ટ્રલ-ભિવાની સુપરફાસ્ટ સ્પેશિયલ- મુંબઈ સેન્ટ્રલથી દર મંગળવાર અને શુક્રવારે 10.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 1 વાગ્યે ભિવાની પહોંચશે. આ ટ્રેન 9 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. ટ્રેન નં. 09002 ભિવાની-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ- ભિવાનીથી દર બુધવાર અને શનિવારે 2.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 2.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 10મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, મંદસોર, નિમચ, ચિત્તૌરગઢ, ભીલવાડા, બિજાઈનગર, નસીરાબાદ, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, અલવર, રેવારી અને કોની દિશામાં થોભશે. આ ટ્રેનમાં એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. 5 ટ્રેન નં. 09003/09004 મુંબઈ સેન્ટ્રલ-શકુર બસ્તી સુપરફાસ્ટ સ્પેશિયલ [4 ટ્રિપ્સ] ટ્રેન નં. 09003 મુંબઈ સેન્ટ્રલ- શકુર બસ્તી સ્પેશિયલ- મુંબઈ સેન્ટ્રલથી રવિવાર, 7 ડિસેમ્બર અને સોમવાર, 8 ડિસેમ્બરના રોજ સવારે 10.30 વાગ્યે ઉપડી અને બીજા દિવસે સવારે 8 વાગ્યે શકુર બસ્તી પહોંચશે. ટ્રેન નં. 09004 શકુર બસ્તી-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ- શકુર બસ્તીથી સોમવાર, 8 ડિસેમ્બર અને મંગળવાર, 9 ડિસેમ્બરના રોજ સવારે 10.15 વાગ્યે ઉપડી અને બીજા દિવસે સવારે 10.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, મથુરા, કોસી કલાન અને દિલ્હી સફદરજંગ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. 6 ટ્રેન નંબર 09730/09729 બાંદ્રા ટર્મિનસ-દુર્ગાપુરા સુપરફાસ્ટ સ્પેશિયલ [02 ટ્રિપ્સ] ટ્રેન નંબર 09730 બાંદ્રા ટર્મિનસ-દુર્ગાપુરા સુપરફાસ્ટ સ્પેશિયલ- સોમવાર, 8 ડિસેમ્બર, 2025ના રોજ બાંદ્રા ટર્મિનસથી સવારે 10:00 વાગ્યે ઉપડી અને બીજા દિવસે સવારે 05:30 વાગ્યે દુર્ગાપુરા પહોંચશે. ટ્રેન નંબર 09729 દુર્ગાપુરા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ- રવિવાર, 7 ડિસેમ્બર, 2025ના રોજ દુર્ગાપુરાથી 12:25 વાગ્યે ઉપડી અને બીજા દિવસે 07:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચી હતી. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર અને બનસ્થલી નિવાઈ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. 7 ટ્રેન નં. 08244/08243 વલસાડ-બિલાસપુર સ્પેશિયલ (સાપ્તાહિક) [8 ટ્રિપ્સ] ટ્રેન નં. 08244 વલસાડ-બિલાસપુર સ્પેશિયલ- દર શુક્રવારે વલસાડથી 16.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13.50 વાગ્યે બિલાસપુર પહોંચશે. આ ટ્રેન 9 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. ટ્રેન નં. 08243 બિલાસપુર-વલસાડ સ્પેશિયલ- દર ગુરુવારે બિલાસપુરથી 16.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13.50 વાગ્યે વલસાડ પહોંચશે. આ ટ્રેન 8 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં ભેસ્તાન, ચલથાણ, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, ડોંગરગઢ, રાજ નંદગાંવ, દુર્ગ, રાયપુર અને ભાટાપરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. 8 ટ્રેન નં. 09497/09498 સાબરમતી-દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ [4 ટ્રિપ્સ] ટ્રેન નં. 09497 સાબરમતી-દિલ્હી સ્પેશિયલ- 9 ડિસેમ્બરના રોજ સાબરમતીથી 22.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 15.15 વાગ્યે દિલ્હી પહોંચશે. ટ્રેન નં. 09498 દિલ્હી-સાબરમતી સ્પેશિયલ- 10 ડિસેમ્બરના રોજ દિલ્હીથી 21.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12.20 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ કોચનો સમાવેશ થાય છે. 9 ટ્રેન નં. 04061 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ [1 ટ્રીપ] ટ્રેન નં. 040461 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ- 7 ડિસેમ્બરના રોજ 5.30 વાગ્યે સાબરમતીથી ઉપડી અને તે જ દિવસે 23.00 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચી હતી. આ ટ્રેન રસ્તામાં પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવારી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાઈ હતી. આ ટ્રેનમાં એસી-2 ટાયર અને એસી-3 ટાયર કોચનો સમાવેશ થાય છે.
પૂર્વ સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના કાર્યાલય નજીક બનેલી એક દિવાલ પર પણ મહાનગર પાલિકાનું બુલડોઝર ફર્યું છે. કોટસફીલ રોડ પર ડીકેએમ હોસ્પિટલની બાજુમાં મુખ્ય રોડને અડીને ચણાયેલી આશરે 60 ફૂટ લાંબી દિવાલને સુરત મહાનગર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે. રાજકીય પક્ષના નેતાઓના વિસ્તારમાં થયેલી કાર્યવાહીને કારણે આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દિવાલ મુખ્ય રોડ પર નડતરરૂપ હતી અને તેને પાર્કિંગ બનાવવાના હેતુથી ચણવામાં આવી હતી. મંગળવારે સવારે, સુરત મહાનગર પાલિકાની ડિમોલેશન ટીમે સ્થળ પર પહોંચીને આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. બુલડોઝરની મદદથી આખી દિવાલને ધ્વસ્ત કરવામાં આવી હતી, જેના પગલે તે વિસ્તારમાં ચહલપહલ જોવા મળી હતી. કચરાની સમસ્યા નિવારવા માટે બાંધકામ હતું :ધારાસભ્ય અરવિંદ રાણાઆ દિવાલ મુદ્દે જ્યારે પૂર્વ સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ દિવાલ તેમના ઘરની બહાર નહોતી. તેમણે જણાવ્યું કે, કોટસફીલ રોડ પર ડીકેએમ હોસ્પિટલ પાસે એક ખાંચો હતો જ્યાં સ્થાનિક લોકો કચરો નાંખતા હતા અને તેના કારણે ભારે ગંદકી થતી હતી. 'આ વિસ્તારને સ્વચ્છ રાખવાના હેતુથી અહીં દિવાલ બનાવી હતી'રાણાએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિકો લોકોએ આ વિસ્તારને સ્વચ્છ રાખવાના હેતુથી અહીં દિવાલ બનાવી હતી, અને હવે પાલિકાએ આ જગ્યાએ પાર્કિંગ ઝોન બનાવ્યું છે. જોકે, પાલિકાના સત્તાધીશોના મતે મુખ્ય માર્ગને અડીને આ બાંધકામ ગેરકાયદે હતું અને રોડ પર અવરોધરૂપ થતું હોવાથી તેને દૂર કરવું જરૂરી હતું. સમગ્ર શહેરમાં દબાણ હટાવવાની આ ઝુંબેશમાં કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો સંદેશ સ્પષ્ટ થયો છે. આ ડિમોલિશન એવા સમયે થયું છે. જ્યારે સુરતમાં ભાજપના જ અન્ય ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત દ્વારા વરાછા વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. આ કાર્યવાહીની ગુંજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી છે, જેના ભાગરૂપે સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ ચૌટાપુલ વિસ્તારમાં પણ દબાણ હટાવવાની માંગ કરી હતી.
જૂનાગઢ જિલ્લામાં તસ્કરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુનાખોરીનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે, તે જિલ્લા પોલીસની કામગીરી સામે ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના માણાવદર નજીક સામે આવી છે, જ્યાં તસ્કરોએ ચોરીના ઇરાદે મિલમાં ઘૂસીને ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ પર જ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં પોલીસે તાત્કાલિક ધોરણે દોડતી થઈ હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.. ઓપેરા મિલમાં મધરાતનો હુમલો અને ચોરીનો પ્રયાસ માણાવદરના મિતડી ગામથી ઈલાસરી ધાર તરફ જતા રસ્તા પર આવેલી ઓપેરા મિલમાં આ ઘટના બની હતી. મિલમાં છેલ્લા અઢી વર્ષથી 60 વર્ષિય ભુપતભાઈ કાદુભાઈ ચૌહાણ ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. મોડી રાત્રે ભુપતભાઈ શેડમાં સૂતા હતા, જ્યારે અન્ય એક કારીગર ઉમેશ કુમારપાલ તેની ઓરડીમાં હતો.મોડી રાત્રિના મોઢે કપડું બાંધેલી હાલતમાં બે અજાણ્યા શખસો ઓપેરા મિલની અંદર ઘૂસ્યા હતા.તસ્કરો મિલમાં બારીનો કાચ તોડીને ચોરીનો પ્રયાસ કરી રહ્યા હતા, જે દરમિયાન હલનચલનનો અવાજ આવતાં જ સિક્યુરિટી ગાર્ડ ભુપતભાઈ જાગી ગયા હતા. સિક્યુરિટી ગાર્ડની બહાદુરી અને તસ્કરોનો હિચકારો હુમલો જાગી ગયેલા ભુપતભાઈએ બે શખસોને પડકાર્યા હતા. ચોકીદારે તસ્કરોનો સામનો કરવાની હિંમત દાખવતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ જવાની અણી પર હતો. પરંતુ, પરિસ્થિતિનો સામનો કરવાને બદલે તસ્કરોએ હિંસાનો માર્ગ અપનાવ્યો હતો. એક શખસ મિલ માલિકની બાઇક ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે બંને શખસોએ ભેગા મળીને ભુપતભાઈ ચૌહાણ પર હુમલો કર્યો હતો. તસ્કરોએ લોખંડની કોશ અને પક્ષી મારવાની દોરી જેવી વસ્તુઓ વડે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાથી માર માર્યો હતો. હુમલા બાદ તસ્કરો ફરાર, ગાર્ડને સારવાર તસ્કરોના હુમલામાં ભુપતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોતાનો જીવ બચાવવા માટેનો પ્રયાસ કરી રહેલા ભુપતભાઈને માર મારીને બંને શખસો મિલની દીવાલ ઠેકીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. ચોરીનો પ્રયાસ તો નિષ્ફળ ગયો, પરંતુ સિક્યુરિટી ગાર્ડ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મિલના સંચાલકો દ્વારા આ સમગ્ર બનાવ અંગે માણાવદર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ આ સમગ્ર ઘટનાક્રમ મિલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હિલચાલ અને સિક્યુરિટી ગાર્ડ પર થયેલો હુમલો સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તેના આધારે તસ્કરોની ઓળખ કરવાની અને તેમને પકડવાની કવાયત હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે, આ ફૂટેજ આરોપીઓ સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ કડીરૂપ સાબિત થશે. હાલમાં પોલીસે ફરિયાદના આધારે હુમલો અને ચોરીના પ્રયાસ કરનાર બે અજાણ્યા શખસોને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ઉદ્યોગ જગતમાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.
રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે. તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે બપોર દરમિયાન પણ પવન ફુંકાઈ રહ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડીનો પારો વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નલિયા અને દાહોદમાં નોંધાયું છે. જ્યારે સૌથી વધુ ઓખામાં 0.3 ડિગ્રી સેલ્સિયસ વધીને 22.1 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 1 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થઈને 14.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
AMTSના કંડકટર સાથે ઠગાઈ:શેરબજારમાં રોકાણના નામે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 11.95 લાખ પડાવ્યા
અમદાવાદમાં AMTS બસના કંડકટરને શેરબજારમાં રોકાણ કરવાના બહાને 11.95 લાખ પડાવ્યા છે.સાયબર ગઠિયાઓએ ગ્રુપમાં એડ કરીને કંડકટરને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી જેમાં રોકાણ કરાવી વધુ નફો બતાવતા હતા.નફાની રકમ વધતા કંડક્ટરે ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ ઉપડી શકી નહોતી.આ અંગે કંડક્ટરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અમરાઈવાડીમાં રહેતા જયંતિલાલ પટેલ AMTS વિભાગમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવે છે.જયંતિલાલ ઓનલાઈન શેર માર્કેટમાં રોકાણ પણ કરે છે.જયંતિલાલને અજાણ્યા શખ્સોએ 1816-વેન્ચુરા સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ એકેડમી નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. આ ગ્રુપમાં અનાહિતા મહેતા નામના વ્યક્તિ સહિતના અન્ય મોબાઈલ નંબર ધરાવતા વ્યક્તિઓ એડમિન તરીકે સક્રિય હતા. 3000 આપી વિશ્વાસ જીત્યો પછી ખેલ કર્યોગ્રુપમાં શેરબજારની ટીપ્સ આપવામાં આવી હતી.જયંતિલાલને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.આ એપ્લિકેશનને શેર માર્કેટમાં લે-વેચ માટેનું પ્લેટફોર્મ હોવાનું કહેવામાં આવ્યું હતું.અજાણ્યા શખ્સોએ જયંતિલાલનનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં રૂપિયા 3,000 નફા પેટે તેમના બેંક એકાઉન્ટમાં પરત પણ આપ્યા હતા, જેનાથી જયંતીલાલને વિશ્વાસ થયો હતો જે બાદ જયંતીલાલને વધુ નફાની લાલચ આપીને શેર માર્કેટમાં ટ્રેડિંગના બહાને ટુકડે ટુકડે કરીને જુદા જુદા બેંક એકાઉન્ટ્સમાં કુલ રૂપિયા 11,95,000ની રકમ જમા કરાવવામાં આવી હતી. રોકાણ ઉપાડવા રિકવેસ્ટ કરતા છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયોજ્યારે જયંતીલાલે VTRADE એપ્લિકેશનમાં દર્શાવેલા રોકાણ અને કમિશનના પૈસા ઉપાડવા માટે રિકવેસ્ટ કરી, ત્યારે તે થઈ શક્યા નહોતા. પૈસા વિડ્રો કરવા માટે ટેક્સ પેટે વધુ રૂપિયા 6,65,568 ભરવા પડશે.આ વાત પરથી તેમને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની જાણ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
દયાપર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ:15મા નાણાપંચ અંતર્ગત વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ
લખપત તાલુકાના દયાપર ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં 15મા નાણાપંચ અંતર્ગત તાલુકામાં હાથ ધરાયેલા વિવિધ વિકાસલક્ષી યોજનાઓના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જસુભા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન, દિનેશ સતવારાએ જીએમડીસી દ્વારા લખપત તાલુકાના આસપાસના ગામોમાં સીએસઆર ફંડ હેઠળ થતા કામો અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ, રમતગમતના સાધનો, રોડ લાઈટ અને સફાઈ અભિયાન જેવી યોજનાઓ માટે વપરાતા ફંડનો ઉપયોગ ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવે છે. સતવારાએ આ કામો ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવા માટે લેખિત રજૂઆત કરી હતી. તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓની જર્જરિત હાલત અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં તાલુકા પ્રાથમિક ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી હર્ષદ પંચાલે જણાવ્યું હતું કે આવી જર્જરિત શાળાઓને તોડી પાડવા માટેની દરખાસ્ત ઉચ્ચકક્ષાએ મોકલી દેવામાં આવી છે. સભાના આરંભે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વિકાસ ચંદેએ ઉપસ્થિત સભ્યોને આવકાર્યા હતા. આ બેઠકમાં ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દિનેશ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય મીનાબા જાડેજા, વિપક્ષી નેતા સમરતદાન ગઢવી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નાયબ હિસાબી નિમિષ પટેલ, હિસાબનીસ ગજેન્દ્ર ભટ્ટી, વિહોલા અને તાલુકા હેલ્થ ઓફિસર કે. કે. પટેલ પણ હાજર રહ્યા હતા.
જામનગરમાં પ્રથમ વખત 'નમસ્તે જામનગર' શીર્ષક હેઠળ ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુભૂતિ ગ્રુપ, જામનગર અને નમસ્તે ઇન્ડિયા, પુણેના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ લાખોટા મ્યુઝિયમ પાસે યોજાયો હતો, જેમાં લાઇવ પેઇન્ટિંગ અને સંગીતનો પણ સમાવેશ થતો હતો. આ કલા અને સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન નમસ્તે ઇન્ડિયાના સ્થાપક સુધીર સલૂનકે દ્વારા દ્વારકાધીશ મંદિરના દર્શન અને પૂજા બાદ કરવામાં આવ્યું હતું. સુમેર રેસીડેન્સી હોલ, સુમેર ક્લબ ખાતે ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન સાત વર્ષની રિવા મૂંગરા અને ચૌદ વર્ષના ધ્યેય શાહ જેવા જુનિયર કલાકારોના હસ્તે થયું હતું. આ પ્રદર્શનમાં જામનગર સહિત વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા 70 થી વધુ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ચિત્રોએ કલાપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું અને કલાકારોને તેમની કૃતિઓ રજૂ કરવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો. 'નમસ્તે જામનગર' કાર્યક્રમ અંતર્ગત પંડિત આદિત્યરામ ઘરાનાના સંગીત સાધના મંદિરના કલાકારો દ્વારા સંગીત પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રણમલ તળાવ પાસેના લાખોટા મ્યુઝિયમ નજીક લાઇવ પેઇન્ટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે પ્રેક્ષકોને આકર્ષિત કર્યા હતા. જામનગરની જનતા અને મહાનુભાવોએ આ અનોખા કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંજય જાની, ડો. ભવનિત કૌર, સુધીર સલૂનકે તેમજ સમિતિના સભ્યો અને વરિષ્ઠ કલાકારોએ જહેમત ઉઠાવી હતી.
ગાંધીનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગાંધીનગરના સેક્ટર-16 વિસ્તારમાં આવેલી હોટલ રોયલ એરા ખાતે ગેરકાયદેસર રીતે કિશોરોને નોકરીએ રાખવાના મામલે હોટલના માલિક વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે,સેક્ટર-16 ઘ-5 પેટ્રોલ પંપ નજીક આવેલી રોયલ એરા હોટલમાં પરપ્રાંતીય બાળકો પાસે મજૂરી કરાવી આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. 5 નેપાળના અને 1 રાજસ્થાનનો કિશોર મળ્યોજે હકીકતના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ઉપરોક્ત હોટલમાં દરોડો પાડવામાં આવતા હોટલના રસોડામાં કેટલાક કિશોરો કામ કરતા મળી આવ્યા હતા. જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ કિશોરોમાં નેપાળના જુદા જુદા ગામોના પાંચ કિશોરો અને રાજસ્થાનના પાલી જિલ્લાનો એક કિશોર કુલ છ કિશોર છે.જેઓ હાલમાં હોટલમાં જ રહે છે. દિવસના 13 કલાક કામ કરાવતા હતાઆ કિશોરોએ વધુમાં પોલીસને જણાવ્યું હતું કે, તેઓ સવારના 10 કલાકથી રાત્રીના 11 કલાક સુધી એટલે કે દિવસના 13 કલાક જેટલો વેઈટર તરીકે કામ કરે છે અને તેમને માસિક માત્ર રૂ .10.500 જેટલો પગાર આપવામાં આવે છે. કિશોરોએ ખુલાસો કર્યો હતો કે હોટલ રોયલ એરાના માલિક આબીદઅલી વલીભાઈ પટેલે (રહે. ગામ-કેસીમ્પા, તા.વડનગર, જી.મહેસાણા) છેલ્લા એકાદ મહિનાથી તેમને નોકરી ઉપર રાખ્યા હતા. જુવેનાઇલ જસ્ટીસ એક્ટ મુજબ ગુનો દાખલ જેના પગલે પોલીસે હોટલ માલિકે કિશોરોની ઉંમર ઓછી હોવાનું જાણતો હોવા છતાં તેમનું શોષણ કરીને નોકરી પર રાખતા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છેકે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ધ્વારા ન્યુ ગાંધીનગર વિસ્તારની વેજ નોનવેજની હોટલોમાં પણ દરોડો પાડવામાં આવે તો પર પ્રાંતીય સગીરોને બાળ મજૂરીમાંથી મુક્તિ મળે શકે એમ છે.
વલસાડ જિલ્લાના પારડી હાઇવે પર નવા બનેલા ફૂટ ઓવરબ્રિજ પર એક મોપેડચાલક મોપેડ લઈને પસાર થતો કેમેરામાં કેદ થયો છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. નેશનલ હાઇવેના 62 કિલોમીટરના વિસ્તારમાં અકસ્માતો ઘટાડવા માટે CSR ફંડમાંથી કુલ પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજનો મુખ્ય હેતુ રાહદારીઓ સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. બ્રિજના લોકાર્પણ પહેલા જ દુરઉપયોગબ્રિજના લોકાર્પણ પહેલા જ સામે આવેલા આ દૃશ્યોમાં, મોપેડચાલક સરળતાથી પારડી બ્રિજ નીચેથી રસ્તો ક્રોસ કરી શકતો હોવા છતાં ફૂટ ઓવરબ્રિજ પરથી મોપેડ લઈને પસાર થતો જોવા મળ્યો હતો. ફૂટ ઓવરબ્રિજ ખાસ કરીને રાહદારીઓ માટે બનાવાયા હોવા છતાં કેટલાક લોકો દ્વારા તેનો દુરુપયોગ થતાં સ્થાનિકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આ ઘટનાને પગલે સુરક્ષાના હેતુસર બનાવાયેલા બ્રિજનો યોગ્ય ઉપયોગ થાય તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસ જવાનોને મૂકીને વાહનચાલકોને સમજ આપીશું: PIઆ અંગે પારડી પોલીસ મથકના PI જી.આર. ગઢવીએ જણાવ્યું હતું કે, આ ફૂટ ઓવરબ્રિજ રાહદારીઓને થતા અકસ્માતો નિવારવા માટે બનાવવામાં આવ્યા છે. બ્રિજ ઉપરથી સ્થાનિક લોકો વાહન લઈને જતા હોવાના બનાવો તાજેતરમાં સામે આવ્યા છે. પારડી પોલીસ મથક વિસ્તારમાં આવતા ત્રણ ફૂટ ઓવરબ્રિજ પાસે પોલીસ જવાનોને મૂકીને વાહનચાલકોને સમજ આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે X પર પોસ્ટ કર્યું:ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી આપી નહીં
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટીના નેતાઓને મળવા દેવામાં આવ્યા નથી. જેલ પ્રશાસને મળવાની મંજૂરી ન આપતાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કેજરીવાલને ફોર્ચ્યુન હોટલમાં જ રોકી લીધા છે. આ ઘટનાએ રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. ગઈકાલે જ જેલ પ્રશાસન પાસે મુલાકાતની પરવાનગી માંગી હતીકેજરીવાલે ગઈકાલે જ જેલ પ્રશાસન પાસે મુલાકાતની પરવાનગી માંગી હતી, પરંતુ આજ સુધી મંજૂરી ન મળતાં તેમણે જેલ તરફ કૂચ કરી હતી. જોકે, જેલની બહાર પહોંચતા પહેલાં જ પોલીસે તેમને રોકી લીધા અને ફોર્ચ્યુન હોટલમાં પરત લઈ જવામાં આવ્યા. જેલની એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી છે. હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં હડદડ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા AAP નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત કુલ 28 ખેડૂતો બંધ છે. કેજરીવાલ તેમને મળવા માટે જ આવ્યા હતા. કાર્યકર્તાઓએ બહાર નારા લગાવ્યાજેલની બહાર AAPના કાર્યકર્તાઓએ ભારે સંખ્યામાં એકઠા થઈને ભાજપ હમ સે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈના નારા લગાવ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ કાબૂમાં રાખી છે. કેજરીવાલે આ મામલે આજે બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં તેઓ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરે તેવી શક્યતા છે. આ ઘટનાએ ગુજરાતમાં ખેડૂત આંદોલન અને AAPની રાજકીય હાજરીને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી છે. કેજરીવાલે X પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે X પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યો છે કે, તેમને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી આપવામાં આવી નથી. કેજરીવાલે જણાવ્યું કે આજે તેઓ રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ખેડૂતો તેમજ AAPના નેતાઓને મળવા જવાના હતા, પરંતુ સરકારે આ માટે પરવાનગી આપી નથી. આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં નવો વિવાદ ઊભો થયો છે.
પાટણ નગરપાલિકાનું ઇમર્જન્સી ફાયર ફાઈટર છેલ્લા ઘણા સમયથી લીકેજ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બેદરકારીને કારણે આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સમયસર સેવા પૂરી પાડવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, જેનાથી જાનમાલના મોટા નુકસાનનો ભય સેવાઈ રહ્યો છે. નિયમ મુજબ, આગનો કોલ મળ્યાના 5 મિનિટની અંદર ફાયર ફાઈટર ઘટનાસ્થળે રવાના થવું ફરજિયાત છે. જોકે, લીકેજને કારણે ફાયર ફાઈટરમાંથી પાણી વહી જાય છે, જેના પરિણામે ઘટનાસ્થળે પહોંચતા પહેલા ફરીથી પાણી ભરવામાં કિંમતી સમયનો વ્યય થાય છે. આ વિલંબને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે, જેનાથી મોટા પાયે જાનમાલનું નુકસાન થવાની સંભાવના વધી જાય છે. ઉપરાંત, લીકેજને કારણે રોજબરોજ પાણીનો પણ બગાડ થઈ રહ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આ ગંભીર બેદરકારી સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય. આ અંગે પાટણ નગરપાલિકાના ફાયર અધિકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રાઉઝરમાંથી છેલ્લા બે દિવસથી પાણી લીકેજ થાય છે. તેમણે ઉમેર્યું કે તેના રિપેરિંગ માટેની પ્લેટ મંગાવવામાં આવી છે અને તે આવ્યા બાદ વેલ્ડિંગ કરીને રિપેરિંગ કામ કરી દેવામાં આવશે.
વલસાડ તાલુકામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ કૃત્ય નજીકમાં રહેતા 35 વર્ષીય પરિણીત યુવકે કર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીની તબિયત બગડતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ પરિવારજનોએ યુવતી સાથે યુક્તિપૂર્વક વાતચીત કરી. પૂછપરછ દરમિયાન યુવતીએ નજીકમાં રહેતા પરિણીત યુવકનું નામ જણાવ્યું, જેનાથી પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ અંગે પરિવારજનોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, વલસાડ રૂરલ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીનું તબીબી પરીક્ષણ કરાવવાની સાથે અન્ય પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત, માનસિક દિવ્યાંગ યુવતીના પરિવારના સભ્યો અને પાડોશીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
ભરૂચ તાલુકા પોલીસે દહેગામ ગામની સીમમાં રાત્રી દરમ્યાન ગૌ-કતલખોરીનો ગેરકાયદે ભાંડાફોડ કરીને 330 કિલોગ્રામ ગૌ માંસ કબજે કર્યું છે તથા ચાર જીવિત ગાયોના જીવ બચાવી તેમને કરજણ પાંજરાપોળમાં મોકલવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતા આ મોટો ગૌ-વંશ રેસ્ક્યૂનો કેસ બહાર આવ્યો છે. ભરૂચ તાલુકાના ઇન્ચાર્જ પી.આઈ.વી.આર.ભરવાડની ટીમે સતત દેખરેખ રાખી કામગીરી કરી હતી.જેમાં માહિતી મુજબ દહેગામના પાતાળકુવા ફળીયામાં રહેનાર મુનાફ મુસા કાળાના રહેણાંક નીચે આવેલા ભેસોના તબેલામાં ગૌ-કતલખોરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.છાપા દરમિયાન વાડની ઝાડીઓની ઓટમાં બેટરી ટ્રોયના અજવાળે એક ગાયનું કતલ કરેલું મળી આવ્યું હતું. સ્થળ પરથી 330 કિલો ગૌ-માંસ, મોટા-નાના છરા, ચપ્પા, લોખંડના સળીયા, દોરડા સહિત કતલખોરીના સાધનો કબજે કરવામાં આવ્યા હતા. તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે રહેણાંક બાજુના ખુલ્લા વાડામાં ઘાસચારો અને પાણી વગર ચાર ગાયોને ટૂંકા દોરડાથી અત્યંત ક્રૂર રીતે બાંધેલી હાલતમાં રાખવામાં આવી હતી અને તેમને કતલ કરવાનો ઇરાદો હોવાનું બહાર આવ્યું છે. પશુચિકિત્સકની હાજરીમાં નમૂના લઈ ગૌ-માંસનો નિયમ અનુસાર નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મહમદસઅદ મુનાફ મુસા કાળાને ઝડપી લીધો છે જ્યારે મુખ્ય આરોપી મુનાફ મુસા કાળા તથા કતલ કામ કરતા બે અજ્ઞાત મજુરો ફરાર છે. તેમની શોધખોળ ઝડપી ગતિએ ચાલુ છે. આ ઘટનામાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-B હેઠળ ગુનો નોંધાયો છે અને ભારતીય ન્યાય સંહિતા- 2023 તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ- 1954 અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-1960ની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીને પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લાના ગામડાઓમાં સિંહની અવર-જવર હવે નિયમિત બની ગઇ હોય એવા દૃશ્યો દર બીજા દિવસે સામે આવતા હોય છે. ત્યારે જાફરાબાદના સરોવડા ગામમાંથી સિંહ અને વાછરડાઓની ફાઇટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ગામમાં શિકાર કરવા આવેલા બે સિંહોને બે વાછરડાઓએ હિંમત બતાવીને ઉભી પૂંછડીએ ભગાડી દીધા હોવાના દૃશ્યો જોવા મળે છે. આગળ આવેલા સિંહે વાછરડા પાછળ દોટ મૂકીસામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે, જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં મધરાતે બે સિંહો શિકારની શોધમાં ભટકી રહ્યા છે. આ દરમિયાન બે વાછરડા જોવા મળતા એક સિંહ એક વાછરડા પાછળ દોટ મૂકે છે. આ દરમિયાન બીજો સિંહ પણ પાછળ જાય છે. જોકે, બીજો સિંહ થોડે આગળ જઇને પાછો ફરે છે. બીજો સિંહ કંઇ સમજે એ પહેલાં વાછરડાએ હડી કાઢીસીસીટીવીમાં જોવા મળે છે કે, પરત આવેલો સિંહ વાછરડાનો શિકાર કરે એ પહેલાં જ અહીં ઉભેલું વાછરડુ એકદમ હડી મૂકીને સિંહ કંઇ સમજે એ પહેલાં જ હુમલો કરી દે છે. આ દરમિયાન ગભરાયેલો સિંહ ઉભી પૂંછડીએ ભાગે છે. આ દરમિયાન આગળ ગયેલો સિંહ પણ પોતાનો શિકાર પડતો મૂકીને ભાગી જાય છે. આમ બંને વાછરડાઓ હિંમત દેખાડતા બંને સિંહોને શિકાર કર્યા વગર જ ગામ મૂકીને ભાગવું પડે છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહો નોંધાયાવર્ષ 2025ની સિંહની ગણતરી મુજબ સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં નોંધાયા છે. સિંહોની વસ્તી વધતા અમરેલી જિલ્લના ખાંભા, સાવરકુંડલા, ધારી, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના ગામડાઓમાં મધરાતે સિંહો શિકારની શોધમાં આવતા હોવાના વારે તહેવારે બનાવો સામે આવતા હોય છે. કેટલીક જગ્યાએ સિંહ પશુનું મારણ કરીને શિકાર કરી લે છે. તો કેટલીક જગ્યાએ પશુઓ હિંમત દેખાડીને સિંહોને ભગાડી મૂકે છે. આ વિસ્તારમાં સિંહોને સંખ્યા વધુ હોવાથી વન વિભાગ પણ સતત મોનીટરીંગ કરીને સિંહોને ગ્રામ્ય વિસ્તારથી દુર ખસેડવાની કામગીરી સતત કરે છે. અમરેલીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધું પંદરેક દિવસ અગાઉ અમરેલી જિલ્લામાં સિંહણે બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. બગસરા તાલુકાના હામાપુર ગામ નજીક રમેશ સોજીત્રાની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવારના 5 વર્ષના બાળક કનક વિનોદભાઈ ડામોરનો સિંહણે શિકાર કર્યો હતો. બાળકનો પેટનો ભાગ, હાથ અને કાનને ફાડી ખાંધાબાળક વાડીમાં પાણીની કુંડી પાસે રમી રહ્યો હતો, ત્યારે એક સિંહણ ત્યાં આવી પહોંચી હતી. સિંહણે બાળકને દબોચી લીધો અને તેને આશરે 70થી 80 ફૂટ દૂર તુવેરના પાકમાં ઢસડી ગઈ હતી, જ્યાં તેણે બાળકનો શિકાર કર્યો હતો. જેથી બાળકનું મોત થયું હતું. સ્થાનિક રમેશભાઈએ જણાવ્યું હતું કે, અમારે ત્યા વાડીએથી બાળકને સિંહણ ઉપાડી ગઈ હતી. બાળકના પેટનો ભાગ, એક હાથ તેમજ કાનના ભાગને ફાડી ખાધો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો...અમરેલી જિલ્લામાં સિંહ અને સિંહણની લટાર અવાર નવાર જોવા મળે છે. વન્યપ્રાણીઓએ પશુઓનો શિકાર કર્યો હોય તેમજ બાળકો પર હુમલો કર્યો હોય તેવી ઘટનાઓ પણ સતત સામે આવે છે. ત્યારે આવો આવી જ કેટલીક ઘટનાઓ જોઈએ અમરેલીમાં વન્યપ્રાણીએ હુમલો કરતાં 10 ઘેટાંના મોત25 દિવસ પહેલા અમરેલીના વડેરા ગામમાં વન્યપ્રાણીએ પશુપાલકના વાડામાં હુમલો કરતાં 10 ઘેટાંના મોત થયા હતા. જેના કારણે માલધારી પરિવારને આશરે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. હુમલા દરમિયાન બે ઘેટાંનું મારણ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ઘેટાં ભય અને ગભરાટને કારણે જીવ ગુમાવી બેઠા હતા. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો સાવરકુંડલાના થોરડીમાં સિંહે માસૂમને ફાડી ખાધો, માત્ર ખોપરી હાથ લાગીએક વર્ષ પહેલા સાવરકુંડલાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક 5 વર્ષના બાળકને સિંહે વાડીથી 200 મીટર દૂર ઝાડીમાં ઢસડી જઈને શિકાર બનાવ્યો હતો અને ફાડી ખાધો હતો. ત્યારે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને ગણતરીના કલાકમાં પાંજરે પુરવામાં સફળતા મળી છે. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો સાવરકુંડલાના ખાલપર-હઠીલામાં સિંહના હુમલાથી એક વ્યક્તિનું મોતનવેક મહિના પહેલ અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખાલપર-હઠીલાના સીમ વિસ્તારમાં સિંહે હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું હતુ. ખેતરમાં ક્ષતવિક્ષત હાલતમાં લાશ મળી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો
અમદાવાદના લાંભા વિસ્તારમાં શિવાલી રેસીડેન્સીના ફ્લેટમાં મોડી રાત્રે ત્રણ મિત્રો મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરીંગ થતાં એક સગીરને ગોળી વાગી અને તે જમીન પર ઢળી પડ્યો, સગીરની હાલત હજુ નાજુક છે. આરોપી સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિએ ગભરાટમાં દેશી તમંચો કચરામાં ફેંકી દીધો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે બંને યુવકોને રાઉન્ડઅપ કરી લીધા છે. ઘરે એકલા હોવાથી મિત્રોને બોલાવ્યાલાંભા વિસ્તારના શિવાલી રેસીડેન્સીમાં રહેતા બેંક કર્મચારી સિદ્ધાર્થ ભૂમિહર (મૂળ પરપ્રાંતિય) ગઈકાલે ઘરે એકલા હતા. ઘરે કોઈ ન હોવાથી તેણે મિત્ર રોહિત પ્રજાપતિ અને એક સગીરને ઘરે બોલાવ્યા હતા. ત્રણેય મોડી રાત્રે મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન સિદ્ધાર્થ પાસે રહેલી દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થઈ ગયું, જેની ગોળી સીધી સગીરને વાગતાં તે જમીન પર ઢળી પડ્યો. રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને રહીશો પણ બહાર દોડી આવ્યાગભરાઈ ગયેલા સિદ્ધાર્થ અને રોહિતે તુરંત જ સગીરના માતા-પિતાને જાણ કરી હતી. રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો પણ બહાર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત સગીરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત હજુ નાજુક બની રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો. મસ્તી કરતી વખતે અચાનક દેશી તમંચાનું ટ્રિગર દબાઈ ગયું હતું પોલીસે ફાયરિંગ કરનારા બંને યુવકો સિદ્ધાર્થ ભુમિહર અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન બંનેએ ગુનો કબૂલ કર્યો અને સિદ્ધાર્થે જણાવ્યું કે, મસ્તી કરતી વખતે તેના હાથે અચાનક દેશી તમંચાનું ટ્રિગર દબાઈ ગયું હતું, જેના કારણે ગોળી સીધી સગીરને વાગી હતી. આરોપીઓએ ગભરાટમાં હથિયાર કચરાના ઢગલામાં ફેંકી દીધું હોવાનું પણ કબૂલ્યું છે, જેની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે.
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી એક અત્યંત ગંભીર અને કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં 70 વર્ષીય ઢગાએ 14 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી થયા બાદ માતા બની છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પેટમાં દુ:ખાવો ઉપડ્યો ને ભાંડો ફૂટ્યોપ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદના એક ગામના રહેવાસી અરજણ ખોડા ચાવડા (ઉ.વ. 70) નામના વૃદ્ધે ગામની એક 14 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યોતાજેતરમાં સગીરાને અચાનક દુ:ખાવો ઉપડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકને વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યું છે. આ ઘટના બાદ પરિવારજનોએ સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યોસગીરાના વાલીઓએ ગત 1 ડિસેમ્બર, 2025ના રોજ પાળીયાદ પોલીસ મથકમાં 70 વર્ષીય આરોપી અરજણ ખોડા ચાવડા વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાળીયાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બીજા જ દિવસે એટલે કે 2 ડિસેમ્બર, 2025ના રોજ આરોપી ઢગાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલહવાલે કર્યો હતો. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષના સરકાર પર પ્રહારગઈકાલે રાત્રે આ કરુણ ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગીતાબેન પટેલ, બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પરમાર સહિત અન્ય મહિલા કાર્યકરો બોટાદની હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સગીરા તેમજ તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. સગીરાની મુલાકાત લીધા બાદ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માંગણી કરી હતી કે, સગીરા પર દુષ્કર્મ આચરનાર આ શખ્સને કડકમાં કડક સજા થાય અને સગીરાને યોગ્ય ન્યાય મળે. વધુમાં, તેમણે ખાતરી આપી હતી કે ફરીવાર આવી ઘટનાઓ ન બને તે માટે મહિલા કોંગ્રેસ દ્વારા યોગ્ય લડાઈ કરવામાં આવશે. સગીરા પર આચરવામાં આવેલા આ જઘન્ય ગુનાથી સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે અને આરોપીને સત્વરે સજા થાય તેવી માગ ઉઠી છે.
વડોદરા શહેરના નવા બજારમાં આવેલ ફર્નિચરની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ એટલી વિકરાળ બની કે આગ આ દુકાનના બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ ત્રીજા માળે આગ પોહચી તે પહેલા કાબૂમાં લીધી હતી. સદ્દનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનદારને મોટું નુકસાન થયું છે. દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાશહેરના નવાબજારમાં આવેલ ફર્નિચર અને પડદાની દુકાનમાં રાત્રે 1 વાગ્યે આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યો હતો. આ આગને લઈ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ એટલી વિકરાળ બની કે ધુમાડાના દ્રશ્યો દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનામાં દુકાનના પહેલા અને બીજા માળે રહેલ તમામ સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો અને દુકાનદારને લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ આગને લઈ અડધી રાત્રે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગ બીજા માળ સુધી આગ પહોંચી હતીઆ અંગે દાંડિયા બજાર ફાયર સ્ટેશનના ઓફિસર પ્રતાપભાઇએ જણાવ્યું હતું કે, શહેરના નવા બજારમાં આવેલ 58 નંબરની ફર્નિચરની દુકાનમાં આ આગ લાગી હોવાનો કોલ અમને મળ્યો હતો. રાત્રિના એક વાગે આગનો કોલ મળ્યો હતો અને કંટ્રોલમાં લીધી છે. આ દુકાનમાં પડદા અને અન્ય સામગ્રી હતી. આ દુકાનમાં ત્રણ માળ આવેલા છે જેમાં તમામ ભરેલા છે અને આગ બીજા માળ સુધી આગ પહોંચી હતી. આગ લાગવાનું કારણ તપાસ બાદ સામે આવશેવધું કહ્યું કે, આ દુકાનમાં ફર્નિચર અને લાકડાની સામગ્રી હોવાથી વધુ આગ પ્રસરી હતી. બીજા માળ સુધી આ આગ પોહચી હતી અને સામાન મોટા પ્રમાણમાં બળીને ખાખ થઈ ગયો છે. આ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી તે તપાસ બાદ સામે આવશે.
સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં લોકોની સતર્કતા અને મહિલાના આક્રોશનો મામલો સામે આવ્યો છે. વરાછાના માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચરને લોકોએ રંગેહાથ ઝડપી પાડીને સબક શીખવ્યો હતો. જે મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ભાગી રહ્યો હતો. તે મહિલાએ મોબાઇલ સ્નેચરને 13 તમાચા અને ચાર ચપ્પલ મારી હતી. ત્યારબાદ મોબાઈલ સ્નેચરને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસપ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના વરાછાના માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં બની હતી, જ્યાં એક શખ્સ એક મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, આસપાસના લોકો તરત જ સતર્ક બની ગયા હતા અને સમયસૂચકતા વાપરીને આ સ્નેચરને પકડી પાડ્યો હતો. મહિલાએ જાહેરમાં જ સ્નેચરને સબક શીખવ્યોમોબાઈલ સ્નેચર પકડાઈ જતાં ગુસ્સે ભરાયેલા લોકોએ તેને 'મેથીપાક' આપવાનું શરૂ કર્યું હતું. જોકે, સૌથી વધુ આક્રોશ તે મહિલામાં જોવા મળ્યો હતો, જેની પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલી આ મહિલાએ જાહેરમાં જ સ્નેચરને સબક શીખવવાનો નિર્ણય લીધો હતો. 13 તમાચા માર્યા અને ચાર ચપ્પલ મારીસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મહિલાએ આ સ્નેચરને એક પછી એક એમ કુલ 13 તમાચા માર્યા હતા. આટલેથી ન અટકતા, મહિલાએ પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને પણ ચારથી વધુ ચપ્પલોનો માર સ્નેચરને માર્યો હતો. મહિલાના આ પરાક્રમને જોઈને ત્યાં હાજર લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસને સોંપાયો સ્નેચર, વધુ તપાસ શરૂલોકોએ સ્નેચરને પકડ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ વરાછા પોલીસની PCR વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોના ટોળા વચ્ચેથી સ્નેચરનો કબજો મેળવ્યો હતો અને તેને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. વરાછા પોલીસે આ મોબાઈલ સ્નેચરને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ વિસ્તારમાં અન્ય કોઈ ઘટનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ગુનાખોરીનો ખુલ્લો ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે: ડીંડોલીમાં પાનના ગલ્લા પર કાતરથી 7-8 ઘા ઝીંકીને યુવક પર હુમલો કરતો આરોપી અને સચિનમાં જાહેરમાં પિસ્તોલ બતાવી ધમકાવતો યુવક – બંને ઘટનાઓના સનસનીખેજ CCTV અને વીડિયો ફૂટેજ વાયરલ થતાં શહેરની કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ રાત્રે 8:30 વાગ્યે ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયારથી હુમલો અને બીજી તરફ પિસ્તોલ લઈને દાદાગીરી – આ બંને ઘટનાઓએ પોલીસના પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે, જ્યારે સચિનમાં તો ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ પોતે જ પિસ્તોલવાળા આરોપીને પકડીને માર માર્યો હતો. કાતર લઈને સામેના યુવક પર સતત 7 થી 8 વાર હુમલો સુરતમાં અસામાજિક તત્વો કેટલા બેફામ છે તેનો બીજો પુરાવો ડીંડોલીના પેરાયોસા બ્લીસ વિસ્તારમાંથી મળે છે. પાનના ગલ્લા પર લગાવેલા CCTV ફૂટેજમાં 7 ડિસેમ્બરના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ એક ભયાનક દ્રશ્ય કેદ થયું છે. વીડિયોમાં પ્રશાંત નામનો યુવક અચાનક આવે છે અને કાતર લઈને સામેના યુવક પર સતત 7 થી 8 વાર હુમલો કરતો જોવા મળે છે. આ હુમલાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ, જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે આટલો ઘાતક હુમલો એ શહેરની કાયદો-વ્યવસ્થા પર લાલબત્તી સમાન છે. ડીંડોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ ગુનેગારોની હિંમત જોતાં પોલીસનો નિષ્ક્રિય પેટ્રોલિંગ ચર્ચાનો વિષય બન્યું છે. પિસ્તોલ બતાવી ધમકાવતા યુવકને લોકોએ જ મેથીપાક ચખાડ્યોસચિન પોલીસ સ્ટેશનની હદમાં એક યુવકે જાહેરમાં પિસ્તોલ બતાવી લોકોમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. નજીવી બાબતે ઉશ્કેરાયેલા યુપીના યુવક પવન કુમાર ઉર્ફે ઋષિલાલ પાલએ બેફામ બનીને પોતાની પાસે રહેલી પિસ્તોલ બતાવી લોકોને ડરાવવાનું શરૂ કર્યું હતું. પહેલાં તો લોકો ડરી ગયા, પણ જ્યારે આ યુવકની દાદાગીરી હદ વટાવી ગઈ, ત્યારે વિસ્તારના ચારથી પાંચ યુવાનોએ હિંમત ભેગી કરી. તેમણે જાહેરમાં જ આ આરોપીને પકડી પાડ્યો અને તેને જ્યાં છે ત્યાં જ મેથીપાક ચખાડ્યો. આ વીડિયોમાં લોકોની હિંમત અને આરોપીની લાચારી સ્પષ્ટ દેખાય છે. સચિન પોલીસે ત્યારબાદ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્તૂસ કબજે કર્યા છે. ખુલ્લેઆમ હથિયારોનો ઉપયોગ કરીને ગુનો આચરતા આરોપીઓનો ડરમુક્ત સ્વભાવ સૂચવે છે કે પોલીસની ગેરહાજરીમાં આ તત્વો સક્રિય થઈ ગયા છે. તાત્કાલિક અસરથી સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી થાય તેવી માંગ સ્થાનિકો દ્વારા કરાઈ છે.
અમદાવાદના દંપતી વચ્ચે ડુંગળી અને લસણની બાબતે એવો તીવ્ર મતભેદ થયો કે પતિએ પત્નીના આહાર સંબંધિત પ્રતિબંધોને અસહ્ય જણાવી છૂટાછેડાની અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે પતિ-પત્નીના છૂટાછેડાને પડકારતી પત્નીની અપીલ ફગાવી દીધી છે. જમવાને લઈ દંપતી વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યાંઆ કેસની વિગત એવી છે કે, મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હતી અને તેથી તે કડકપણે ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેતી હતી, પરંતુ પતિ અને સાસુ ઉપર એવો કોઈ પ્રતિબંધ નહોતો. દંપતીના લગ્ન 2002માં થયા હતા, પરંતુ રસોઈની પસંદગી તેમના દાંપત્ય જીવન માટે આપત્તિરૂપ બની હતી. ધીમે-ધીમે ઘરેલું ઝઘડાઓ વધતા ગયા અને સંબંધોમાં ખટાશ આવી ચૂકી હતી. પત્ની નિયમિત રીતે પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતી અને સંપ્રદાયના નિયમોનું પાલન કરતી હતી. પતિ અને સાસુ પોતાની આહારની પદ્ધતિ બદલવા ઇચ્છતા નહોતા, પરિણામે ઘરમાં અલગ-અલગ રસોઈ કરવાની વ્યવસ્થા થઈ. પત્ની ઘર છોડીને જતી રહેતા પતિએ છૂટાછેડાની અરજી કરીઆ રીતે વિભાજિત રસોડું અંતે દાંપત્ય સંબંધનો અંત લાવનાર બની રહ્યું હતું. પત્ની બાળક સાથે પતિનું ઘર છોડીને જતી રહી હતી. 2013માં પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમા છૂટાછેડા માટે અરજી કરી હતી. તેનો દાવો હતો કે, પત્નીએ તેની સામે ક્રૂરતા આચરીને તેનો પરિત્યાગ કર્યો છે. 8 મે, 2024ના રોજ ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા અને પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પતિએ ભરણપોષણના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યોબાદમાં બન્ને પક્ષો હાઈકોર્ટ પહોંચ્યા હતા, જ્યાં પત્નીએ છૂટાછેડા સામે અપીલ કરી અને ભરણપોષણની રકમ અમલમાં લાવવાની માગ કરી હતી. જ્યારે પતિએ ભરણપોષણના આદેશને પડકાર્યો હતો. પત્નીના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, પતિએ ફેમિલી કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે પત્નીના ધાર્મિક વિશ્વાસોને કારણે ડુંગળી અને લસણ ટાળવાની તેની આદત ઝઘડાનું કારણ બનતી હતી અને તે તેના વલણમાં અડગ રહી હતી. ફેમિલી કોર્ટે પતિના દાવાને સ્વીકાર્યો હતો. પતિએ ભરણપોષણની રકમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવી દેવા કહ્યુંપતિના વકીલે દલીલ કરી હતી કે, તેના અસીલ અને તેની માતા, પત્ની માટે ડુંગળી-લસણ વિના ભોજન બનાવતા હતા. ડુંગળી અને લસણનું સેવન બંને વચ્ચેના મતભેદનું મુખ્ય કારણ હતું. પતિએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવી પડી હતી. હાઈકોર્ટમાં એક સમયે પત્નીએ જણાવ્યું કે, હવે તેને છૂટાછેડા સામે કોઈ વાંધો નથી. પતિએ હાઈકોર્ટમાં જવાબ આપ્યો હતો કે, બાકી ભરણપોષણની રકમ તે કોર્ટની રજિસ્ટ્રીમાં હપ્તાઓમાં જમા કરાવી દેશે.
પાટણ જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી શંખેશ્વર નજીક રૂપેણ નદી પરના નવા બ્રિજના છેડા જોડવાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા વિનંતી કરી છે. જૂના બ્રિજની જર્જરિત હાલતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે, જેનાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ પત્ર લખ્યો છે. પત્રમાં 'પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક રૂપેણ નદી ઉપર નવીન બ્રિજના છેડા જોડવાનું કામ તાત્કાલિક કરવા બાબત'નો ઉલ્લેખ છે. પત્રમાં જણાવાયું છે કે શંખેશ્વર નજીક રૂપેણ નદી પરનો જૂનો પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શંખેશ્વર જૈન ધર્મનું આસ્થાનું કેન્દ્ર હોવાથી દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરોને ભારે તકલીફ પડી રહી છે. આ પુલ ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો એક મહત્વનો માર્ગ પણ છે. અગાઉ જર્જરિત પુલના ભાગમાં જ નવીન પુલ બનાવવાનું કામ શરૂ થયું હતું, પરંતુ જમીન સંપાદન ન થવાને કારણે તે આગળ વધી શક્યું ન હતું. પ્રમુખે મુખ્યમંત્રીને જમીન સંપાદન માટે તાત્કાલિક કાર્યવાહી કરીને નવીન બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા વિનંતી કરી છે.
મેટ્રોના કામ પૂરા થયા પણ શહેરના રસ્તાઓ હજુ વેસ્ટ મટીરીયલથી ભરેલા છે. છેલ્લા એક વર્ષથી લોકો જે ટ્રાફિકની હાલાકી ભોગવી રહ્યા હતા, તે મેટ્રોનું કામ પત્યાના 15 દિવસ પછી પણ દૂર થઈ નહોતી. પર્વત પાટિયાથી રઘુવીર માર્કેટ સુધીનો મુખ્ય માર્ગ મેટ્રોની બિનજરૂરી મશીનરી અને કચરાના ઢગલાને કારણે બ્લોક રહ્યો હતો. શહેરની ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત જનતાની બૂમ હવે છેક પોલીસના કાન સુધી પહોંચી છે. ટ્રાફિક ડીસીપી પન્ના મોમ્યાએ આ મામલે એક્શન મોડમાં આવીને મેટ્રોના અધિકારીઓને કડક સૂચના આપી છે. 15 દિવસ પહેલાથી જ કામગીરી પૂર્ણ છતાં મશીનરી અને બિનજરુરી વસ્તુઓથી રોડ બ્લોકડીસીપીએ તાત્કાલિક મેટ્રો, કોર્પોરેશન, BRTSઅને ટ્રાફિક પોલીસના અધિકારીઓની ટીમ બનાવીને સ્થળ પર જોઈન્ટ વિઝિટનું આયોજન કર્યું હતું. 15 દિવસ પહેલાથી જ કામગીરી પૂર્ણ થયા બાદ પણ 3 KMના બ્લોક રોડ પરથી મશીનરી અને બિન જરૂરી વસ્તુઓ અધિકારીઓ હટાવી રહ્યા નહોતા જેથી મેટ્રોના અધિકારીઓ ને સ્થળ પર બોલાવી ડીસીપી દ્વારા સખત સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક તમામ વસ્તુઓ હટાવવામાં આવે..ડીસીપી પન્ના મોમ્યાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “મેટ્રો દ્વારા જ્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં પોતાનું બિનજરૂરી મટીરીયલ મૂકી રાખવામાં આવ્યું છે, જેના કારણે ટ્રાફિકને ગંભીર અડચણ થાય છે. લોકોને રાહત આપવા માટે આ રસ્તાઓને ઝડપથી અને સંપૂર્ણપણે ખુલ્લા કરવાપરવત પાટિયાથી રઘુવીર માર્કેટ સુધીના 3 કિલોમીટરના પેચમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રોડ બ્લોક હતો. આ તાત્કાલિક હટાવવું પડશે.વિઝિટ દરમિયાન પર્વત પાટિયાથી લઈને સારોલી ગામ ગેટ સુધીના આખા વિસ્તારમાં રસ્તા પર પડેલું તમામ વેસ્ટ મટીરીયલ અને મશીનરી યુદ્ધના ધોરણે દૂર કરવા માટે મેટ્રોના અધિકારીઓને સખત સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસનો ધ્યેય સ્પષ્ટ છે: લોકોને રાહત આપવા માટે આ રસ્તાઓને ઝડપથી અને સંપૂર્ણપણે ખુલ્લા કરવા. એક વર્ષથી વન-વે બનેલો રોડ હવે એક સપ્તાહમાં ખુલ્લો થશેમેટ્રોના કામને કારણે ટ્રાફિકની હાલાકીની સૌથી વધુ પીડા સારોલી ગામ ગેટથી રઘુવીર માર્કેટ વિસ્તારના લોકોને ભોગવવી પડતી હતી. આ રોડ છેલ્લા એક વર્ષથી માત્ર એક સાઈડ જ ચાલતો હોવાથી ખાસ કરીને સાંજના પીક અવર્સમાં અહીં ભયંકર ટ્રાફિક જામ થતો હતો. હવે ડીસીપી પન્ના મોમ્યાની દરમિયાનગીરી બાદ આ સમસ્યાનો પણ અંત આવશે. મેટ્રોના અધિકારીઓએ ખાતરી આપી છે કે આગામી એક અઠવાડિયામાં આ રોડની બીજી સાઈડ પણ ટ્રાફિક માટે સંપૂર્ણપણે ખુલ્લી મૂકી દેવામાં આવશે. આ નિર્ણયથી ટ્રાફિક બંને તરફ સરળતાથી ચાલી શકશે અને પીક અવર્સની માથાકૂટનો અંત આવશે. શહેરભરના પેચીસ આઈડેન્ટીફાય થશેડીસીપી મોમ્યાએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ તો માત્ર શરૂઆત છે. શહેરમાં અન્ય જે પણ વિસ્તારોમાં મેટ્રોની કામગીરી પૂરી થઈ ગઈ છે, તે તમામ પેચીસ અમે આઈડેન્ટીફાય કરીશું. મેટ્રોના અધિકારીઓને સાથે રાખીને જ્યાં જ્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાંથી રોડ તાત્કાલિક ખુલ્લો કરાવવાની કામગીરી આગામી દિવસોમાં સતત ચાલુ રાખવામાં આવશે. સુરત પોલીસનો આ સખત પગલું ટ્રાફિક સમસ્યાથી પીડાતા નાગરિકોને મોટી રાહત આપનારું સાબિત થશે, અને મેટ્રોના કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે રોડ બ્લોક કરીને શહેરીજનોને પરેશાન કરાશે તો ચલાવી લેવામાં નહીં આવે.
SIR: ગુજરાતમાં 68 લાખ લોકોના નામ મેચ થયા નહીં, હવે પૂરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા
File Photo
પાટણ નગરપાલિકા ખાતે શહેરના વિવિધ વિકાસ કામો માટેના ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા. લાંબા સમયથી અટકેલા આ ટેન્ડરો નગરપાલિકાની એક બેઠકમાં ખોલવામાં આવ્યા હતા. આ અંગે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ જે. પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ અને બાંધકામ વિભાગના ચેરમેન મહેશભાઈ પટેલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વિવિધ ગ્રાન્ટોમાંથી મંજૂર થયેલા કામોને હાથ ધરવામાં આવશે. અગાઉ થયેલી ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત કુલ પાંચ ટેન્ડરો આવ્યા હતા, જેમાં બે ઓનલાઈન અને ત્રણ ઓફલાઈન ટેન્ડરોનો સમાવેશ થાય છે. આ તમામ ટેન્ડરો ખોલી દેવામાં આવ્યા છે. હવે આ ટેન્ડરોની વહીવટી અને તાંત્રિક મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઓનલાઈન ટેન્ડરોમાં પાટણ શહેરમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા અને વૃક્ષોના રક્ષણ માટે ટ્રી ગાર્ડની ખરીદી કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાટણ નગરપાલિકાના નવા બિલ્ડીંગના ઉપરના માળે આવેલા લીકેજ થતા ટોયલેટ બ્લોકનું રિપેરિંગ કામ પણ હાથ ધરવામાં આવશે. ઓફલાઈન ટેન્ડરોમાં પાટણ શહેરના જુદા જુદા છ વિસ્તારોમાં રૂપિયા બે કરોડના ખર્ચે ડામર રોડ બનાવવાનું કામ સામેલ છે. વધુમાં, અન્ય ત્રણ વિસ્તારોમાં રૂપિયા એક કરોડના ખર્ચે ડામર રોડ અને બાકીના વિસ્તારોમાં સી.સી. રોડ તથા બ્લોક પેવિંગ માટે રૂપિયા એક કરોડના કામોના ટેન્ડરો પણ ખોલવામાં આવ્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી (Liza Industry) નામની પ્લાસ્ટિક કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આસપાસની અન્ય કંપનીઓ પણ આગની ઝપેટમાં આવીપ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી આ કંપનીમાં આગ લાગવાના કારણે, પ્લાસ્ટિકની હાજરીને લીધે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના-મોટા વિસ્ફોટ પણ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વિકરાળ આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે. પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ વિકરાળ બનીઘટનાની જાણ થતાં જ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે અન્ય વિસ્તારોના ફાયર ફાઇટરો પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં જોડાયા હતા. જોકે, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ પર કાબૂ મેળવવાનું કાર્ય પડકારજનક બન્યું છે. આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યાબીજી તરફ, દાદરા નગર હવેલીની પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યા હતા. કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસે સુરક્ષાના પગલાં લીધા છે અને હાલ આગ કાબૂમાં લેવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
સુરેન્દ્રનગરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડવા માટે બેંક એસોસિએશન અને મેનેજર્સની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. નિકુંજ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના L.C.B., S.O.G., ટેકનિકલ સેલ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. તેનો મુખ્ય હેતુ સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા માટેની વિશેષ ડ્રાઇવ અંગે ચર્ચા કરવાનો હતો. આ ડ્રાઇવ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૨૦ ટીમો બનાવવામાં આવી છે, જેમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી એક ટીમનો સમાવેશ થાય છે. આ ટીમોમાં એક PSI, કોમ્પ્યુટર ઓપરેટર, ડી સ્ટાફ અને રાઇટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાયબર પોલીસ સ્ટેશન, LCB અને SOGની પણ અલગ ટીમો કાર્યરત રહેશે. બેંક મેનેજર્સ સાથેની આ બેઠકમાં તેમને ઝડપથી માહિતી પૂરી પાડવા અને ફ્રોડ એકાઉન્ટ્સને ઓળખવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ડ્રાઇવનો ઉદ્દેશ્ય માત્ર નાણાં ટ્રાન્સફર કરનાર મ્યુલ એકાઉન્ટ ઓપરેટરો સુધી જ નહીં, પરંતુ આ સમગ્ર નેટવર્કના મુખ્ય આકાઓ સુધી પહોંચવાનો છે. આ વિશેષ ડ્રાઇવ આજથી શરૂ થઈને આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.
વાંકાનેરમાં પાલિકા તંત્ર તથા મામલતદાર તંત્રએ ગેરકાયદે ખડકેલા દબાણો પર બુલડોઝર ફેરવીને જમીન ખુલ્લી કરાવી છે. પાલિકા, તંત્રના પગલાંને લોકોએ આવકાર્યું છે, ખાસ તો કુખ્યાત ગુનેગારોએ ખડકેલા દબાણોને હટાવવાની હિંમત તંત્રે કરતાં લોકો સરાહના કરી રહ્યું છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીરસબંધી ગુનાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ઇસમ જુમ્મો ઉર્ફે અનવર કાળુ શેખનુ ચંદ્રપુર નાળા પાસે સરકારી જમીન ઉપર બનાવાયેલું દબાણ ૮૦ ચોરસ મીટર જમીન, મિલ્કત સબંધી ગુનાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમ નવઘણ વિકાની વાસ પાસે સરકારી જમીન ઉપર કરેલા દબાણ આશરે ૮૦ ચોરસ ફીટ જમીન અંદાજીત કિંમત 10 લાખ રૂપિયાની છે.
મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ બોરીયાપાટી વિસ્તારમાં ગત તા 3 ના સવારે પુર ઝડપે આવેલી એક ઓડી કાર અચાનક ધસી આવી હતી અને આગળ જતી એક રીક્ષા તેમજ એક બાઈકને ટક્કર મારી કાર ચાલક કાર રેઢી મૂકી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં રીક્ષા ચાલક તેમજ બાઈક સવાર બન્નેને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.જો કે બન્નેની સારવાર કારગત ન નીવડતા અલગ અલગ સમયે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ મૃતકના પરિવાર દ્વારા ફરિયાદ નોધાવી હતી. મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ આવેલા બોરિયાપાટી પાસે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં પુર ઝડપે આવેલી કાર બેકાબુ બની હતી અને એક રીક્ષાની એક બાઈક સાથે અથડાવી હતી. આ બનાવમાં કુરબાનભાઈ પીરભાઈ સુરાણી નામના રીક્ષા ચાલક તેમજ મહાદેવભાઈ રણછોડભાઈ મારવણીયા નામના બાઈક ચાલકને ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે લોકો એકત્ર થઇ જતા ચાલક કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ગંભીર હાલતમાં કુરબાનભાઈ તથા મહાદેવભાઈ રણછોડ ભાઈ મારવણીયા સારવાર માટે મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં પ્રથમ મહાદેવભાઈનું સારવાર દરમિયાન મોત થયા બાદ કુરબાનભાઈનું પણ મોત થતા આ હીટ એન્ડ રનની ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા બનાવ બાદ મૃતકના પત્ની મેરુબેને આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાસ્કર ઇન્સાઇડકારનું રજિસ્ટ્રેશન રાજકોટ જિલ્લાનું હોવાનું સામે આવ્યુંરીક્ષા અને બાઈકને હડફેટે લેનાર આ જીજે 01 કે ઝેડ 68 27 નંબર ની કારનું રજીસટ્રેશન રાજકોટ જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે જયારે હાલ માલિકનું નામ સાગર હોવાનું સુત્રો પાસેથી સામે આવ્યું છે જેનું 2020 માં રજીસ્ટ્રેશન થયેલું છે હાલ વાહનનો પીયુસી અને વીમો એક્ટીવ હોવાનું પણ સામે આવ્યું છે જોકે તેના નામે હાલ કોઈ ચલણ છે કે નહી તે વિગત સામે આવી નથી
મોરબી જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચકાસવા હેલિકોપ્ટરથી હવાઈ સર્વે કરવામાં આવ્યો હતો શરુઆતમાં લોકો આ સર્વેને લઇ અલગ અલગ અટકળો પણ લગાવતા હતા જો કે આ સર્વેનો રીપોર્ટ પણ સામે આવ્યો છે જેમાં મોરબી જિલ્લામાં હાલ ભૂગર્ભ જળનું પ્રમાણ અને ગુણવતા હાલ સામાન્ય હોવાનું રીપોર્ટમાં સામે આવ્યું છે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના હસ્તે વિમોચન કરાયું હતું. વૈજ્ઞાનિકો ની ટીમ દ્વારા સર્વેની કામગીરી બાદ મોરબી જિલ્લાના મોરબી, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકામાં જુદી જુદી પધ્ધતિ મુજબ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણના વિગતવાર રિપોર્ટ વૈજ્ઞાનિકો દ્વારા મોરબી કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ પાણી પુરવઠા અધિકારી મહેશ દામાના માર્ગદર્શન નીચે યોજાયો હતો.
મોરબીના પાટીદાર સમાજે લગ્ન અને સગાઈ જેવા મહત્વના યાદગાર સામાજિક પ્રસંગમાં ખોટા ખર્ચા ટાળવા અન્ય સમાજને પ્રેરણા મળે તેવી સામાજિક ક્રાંતિ આણી છે. જેમાં મોટાભાગના પાટીદાર સમાજના લોકો શિક્ષિત અને સમૃદ્ધ હોય અને લગ્ન અને સગાઈ જેવા સમાજિક પ્રસંગ ધામધૂમથી કરી શકે તેટલા સક્ષમ હોય છે. પરંતુ બધા પરિવારો આર્થિક રીતે સમૃદ્ધ હોતા નથી. આથી મોરબી શહેર, ગ્રામ્ય અને જિલ્લામાં વસવાટ કરતા આર્થિક રીતે સામાન્ય સ્થિતિ ધરાવતા લોકોને પોતાના સંતાનોના લગ્ન અને સગાઈમાં ગજા બહારનો ખર્ચ ન કરવો પડે એ માટે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના અગ્રણીઓએ વર્ષ 2018માં સગાઈમાં જ પહેરેલા કપડે લગ્ન કરવાનું નવું સામાજિક પરિવર્તન કર્યું હતું. પછી તો જ્યાં જ્યાં આવા સામાન્ય પરિવારોની સગાઈ હોય ત્યાં આ સમિતિ પહોંચી જાય અને બન્ને પક્ષને વેવિશાળમાં કન્યા અને વર હાજર હોય, તેમાં ચાંદલા, ચૂંદડી, જમણવાર, વીંટી પહેરાવી સહિત મોટો ખર્ચ થતો હોય તો હવે પછી લગ્નમાં કેટલો ખર્ચ થશે ? તે અંગે સમજાવીને સગાઈમાં જ લગ્ન કરાવી નાખે છે. મોરબી જિલ્લામાં 2018થી 1100 જેટલા ઘડિયા લગ્ન આ રીતે જ કરી બેહિસાબી ખર્ચ બચાવ્યો છે. જેતપરથી શરૂ કરેલી ક્રાંતિકારી પ્રથા હવે ઝુંબેશ બનીમોરબીના જેતપર ગામે 2018માં નજીકના સગામાં સગાઈ હતી. પણ એ પરિવાર સામાન્ય હતો. એટલે સગાઈનો ખર્ચ અને લગ્નનો ખર્ચ ભારે પડે એમ હોવાથી અમે સમિતિના બધા સભ્યોએ ત્યાં જઈને વડીલોને સદાઇથી આ પ્રસંગ કરવા સમજાવ્યા હતા. પછી તો આ ક્રાંતિકારી પ્રથા એક ઝુંબેશ બની ગઈ છે. ઘણા વર્ષોથી ઘડિયા લગ્નથી અન્નનો મોટો બગાડ, ફટાકડા, બેન્ડ બાજા, બગી, ઢોલ નગારા સહિતનો ખોટા દેખાડો દૂર કરી શકાયો છે. > મનુભાઈ કૈલા , સમિતિના અગ્રણી જૂના રિવાજોને પણ અલવિદાપાટીદાર સમાજ સમયની સાથે તાલ મિલાવી, સમયની જરૂરિયાત અનુસાર આગળ વધે છે. સમાજના પરંપરાગત રિવાજોને દૂર કરવા જેવા કે મૃત્યુ પછી પ્રેત ભોજન એટલે કે દહાડા’ ની પ્રથાને તિલાંજલિ આપવાની સાથે દીકરીના જન્મે ગોત્રીજવીધિ, વગેરે કાર્યો મારફત અન્ય સમાજોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો છે, > દિનેશભાઇ વડસોલા, જાગૃત નાગરિક મોરબી અન્ય જિલ્લામાં પણ ઘડિયા લગ્નની સુવાસ પ્રસરીજિલ્લામાં તો આ ઘડિયા લગ્ન ફળદાયી નીવડ્યા છે. જેમાં જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં પણ ઘડિયા લગ્ન થાય છે. લોકોએ વિચારવું જોઈએ કે પૈસે ટકે સુખી સંપન્ન હોય તો શું થઈ ગયું ? ખોટા ઉડાડવાને બદલે ચાલે એમ છે તો ચલાવી લેવું, ખોટા દેખાડાની શી જરૂર છે ? > પોપટભાઈ કગથરા, સામાજિક આગેવાન
ચેતનસિહનો ગુનો ફાંસીની સજાને લાયક, જામીન ન આપોઃ પોલીસ
ટ્રેનમાં પ્રવાસીઓે ઠાર કરનારાને જામીનનો વિરોધ આ તબક્કે જામીન આપવાથી ફરિયાદ પક્ષના કેસને નુકસાન થવાની પોલીસની દલીલ મુંબઈ - પોલીસે સોમવારે ભૂતપૂર્વ આરપીએફ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીની જામીન અરજીનો વિરોધ કરીને દલીલ કરી હતી કે આરોપો ગંભીર પ્રકારના છે અને મૃત્યુદંડની સજા થઈ શકે છે. ચાલતી ટ્રેનમાં તેમના ઉપરી અને ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. લેખિત જવાબમાં જણાવાયું છે કે સાક્ષીઓની તપાસ કરવામાં આવી રહી છે અને પૂરતી સામગ્રી રેકોર્ડ પર લાવવામાં આવી છે, જે આરોપી વિરુદ્ધ પુરાવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
21 મીએ પાલિકાની મતગણતરીના કારણે એમપીએસસીની પરીક્ષા ઠેલાઈ
હવે ચોથી જાન્યુઆરીએ પરીક્ષા યોજાશે મહારાષ્ટ્ર ગુ્રપ બી ની પરીક્ષાઓ સતત બીજા વખત મુલતવી કરાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાયા મુંબઈ - રાજ્યમાં ૨૧મી ડિસેમ્બરે થનારી નગરપાલિકા ચૂંટણીઓની મતગણતરીને ધ્યાને રાખીને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)એ ૨૧ ડિસેમ્બરે યોજનારી મહારાષ્ટ્ર ગુ્રપ બીની (નોન ગેઝેટેડ) સર્વિસીસ કમ્પાઈન્ડ પ્રિલિમિનરી પરીક્ષા મુલતવી રાખી છે. હવે આ પરીક્ષાઓ ચાર જાન્યુઆરી ૨૦૨૬ના યોજવાની જાહેરાત કરી છે. જિલ્લા સ્તરે યોજાતી આ પરીક્ષાઓની સંપૂર્ણ જવાબદારી જિલ્લા કલેકટર અને મહેસૂલ વિભાગની હોવાથી આ વિભાગના તમામ કર્મચારીઓ ૨૧ ડિસેમ્બરના મત ગણતરીમાં વ્યસ્ત રહેશે.
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામનું ભસ સ્ટેન્ડ હાલમાં અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં પહોંચી ગયું છે. દીવાલોમાં પડેલા મોટા ફાટા, તુટી રહેલી છત અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાને કારણે રોજિદા મુસાફરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોએ જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડમાં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી, લાઇટિંગ નબળી છે અને સફાઈનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવતું નથી. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ જર્જરિત બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં જ આંગણવાડી આવેલી છે. ગામના સમાજ સેવક સુંદરભાઈ ડેડાણીયાએ આ અંગે રાજકોટ જીએસઆરટીસી મેનેજરને લેખિત રજૂઆત કરી છે. અને તાત્કાલિક તપાસ, મરામત તથા પુનઃનિર્માણ અંગે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. ગ્રામજનોની માંગ છે કે મુસાફરો અને આંગણવાડીના બાળકોની સુરક્ષા માટે જીએસઆરટીસી વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બસ સ્ટેન્ડનું સમારકામ કે નવું નિર્માણ વેગથી શરૂ કરવામાં આવેતેવી રજુઆત આવેદનમાં કરવામાં આવી છે. ત્યારે હિન્દુ સંગઠન દ્વારા પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી માગ કરાઈ છે.
સલમાન સાથે સ્ટેજ શેર કરવા બદલ પવન સિંહને બિશ્નોઈ ગેંગની ધમકી
ભોજપુરી સ્ટારને જુદા જુદા મોબાઈલ પરથી ખંડણીના ફોન આવ્યા 15-20 લાખની ખંડણીની માગણીઃ પવન સિંહ માટે કામ કરવા બદલ મેનેજર સહિતના સ્ટાફને પણ ધાકધમકી મુંબઇ - ભોજપુરી અભિનેતા અને ગાયક પવન સિંહ લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામથી મારી નાખવાની ધમકી મળી હતી. વિરારથી મુંબઇ જુદા જુદા મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને ફોન કરનારાએ કથિત રીતે ખંડણીની માંગણી કરી હતી અને સલમાન ખાન સાથે સ્ટેજ પર ન આવવાની ચેતવણી આપી હતી. આ ધમકીઓ મળ્યા બાદ પવન સિંહના મેનેજરે પોલીસમાં ઔપચારિક ફરિયાદો નોંધાવી હતી.
ઠેર ઠેર ગંદા પાણી ભરાયા:સુરેન્દ્રનગર એસટી વર્કશોપમાં પેટ્રોલ પંપ સામે જ બસો ધોવાતા પાણી ભરાયા
સુરેન્દ્રનગર શહેરના ડેપોમાં ઠેર ઠેર ગંદા પાણી સાથેની ગંદકી ફેલાઇ હોવાનો ઘાટ વારંવાર સર્જાઇ છે. ત્યારે એસટી બસો માટે વર્કશોપ માટે આરસીસીની બાજુમાં ગંદકીઓ ફેલાતા યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવામાં આવી તેવી માંગ ઉઠી હતી. સુરેન્દ્રનગર નવનિયુક્ત એસટી ડેપોમાં અનેક સમસ્યાઓને લઇને મુસાફરો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રાવ ઉઠી છે. એસટી બિલ્ડિંગમાં પ્લાસ્ટિક સહિતના કચરો પણ જોવા મળે છે. જ્યારે નવા વર્કશોપ માટે આરસીસી બનાવવામાં આવ્યો છે. પરંતુ હાલ વર્કશોપ સહિતની કામગીરી ઠપ રહેતા આરસીસીની બાજુમાં કે તેની અંદર પ્લાસ્ટિકની બોટલો, ગંદા પાણી સહિતની ગંદકી ફેલાતી હોવાથી મુસાફરોને મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ સ્વચ્છતાને લઇને ડેપોમાં સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી. પરંતુ એસટી ડેપોના વર્કશોપ તેમજ ડીઝલ પંપની સામે જ ગંદા પાણી ભરાતા હોવાની વિગતો બહાર આવી હતી. જેના કારણે ગંદકી સાથે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. એસટી બસોને દિવસ દરમિયાન પાણીના ફૂવારાઓ મારીને ધોવામાં આવે છે. ત્યારે તેનું પાણી આ સ્થળે જમા થતું હોવાની વિગતો બહાર આવી હતી. આ જગ્યાએ કેટલીવાર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ જાય છે. આવો ઘાટ સર્જાતા રોગચાળાનો પણ લોકોને ભય રહે છે. આથી આ પાણીનો પણ યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સાયલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન અનુલક્ષીને આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખડેલુ, ડીવાયએસપી વિશાલ રબારીએ મુલાકાત લીધી હતી. જેમાં અશોકકુમાર યાદવે સાયલા પોલીસ સ્ટેશનના પરિસરમાં રહેલા અકસ્માતગ્રસ્ત તેમજ ગુનામાં ઝડપાયેલા વાહનો તેમજ સ્વચ્છતા બાબતે સૂચનો આપીને સાયલા પોલીસની સારી કામગીરીનો પ્રતિભાવ આપ્યો હતો. જેમાં ખાસ કરીને નેશનલ હાઈવેથી પસાર થતાં વાહનોની ચેકિંગ અને ટ્રાફિક બાબતની કામગીરી બાબતે પોલીસ પૂછપરછ અને કરેલી કાર્યવાહીની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસના ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને વૃક્ષારોપણ કરીને પોલીસના પરિવારજનોની મુલાકાત લઈને તેમની સમસ્યા અને મુશ્કેલી બાબત જાણી હતી પોલીસ ક્વાર્ટરના પરિસરમાં રમતગમતના સાધનો સહિત બાળકોમાં કૌશલ્યતા વધે તેવા સાધનો બાબતે પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાયલાના ઇન્ચાર્જ પીઆઈ ડી.ડી. ચુડાસમા સહિતના પોલીસ કર્મીઓને આજે પોલીસ પરેડમાં આઇજી ઉપસ્થિત રહેશે સુરેન્દ્રનગર જિલ્લાના વાર્ષિક ઇન્સપેકસન માટે જિલ્લા પોલીસ વડા આવ્યા છે. આથી આજે મંગળવારે સવારે 7-30 કલાકે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યોજાશે. જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટેના પ્રયાસો અને કડક કાર્યવાહીની સૂચના આપી હોવાનું તેમજ નેશનલ હાઈવે ઉપરની હોટલો તેમજ રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરાનો અમલવારી થાય તેવા સૂચનો આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગટરના પાણી રોડ આવ્યા:ચોટીલા શાસ્ત્રીનગર આગળ હોટલો,ગેસ્ટ હાઉસના ગટરના પાણી રસ્તા પર
ચોટીલા સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. તેમજ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર હોવાથી નેશનલ હાઈવે પસાર થાય છે. તેમાં મોટી સંખ્યામાં યાત્રાળુ અને પ્રવાસીઓ આવતા હોય છે. તેથી ગેસ્ટ હાઉસ અને હોટલ, રેસ્ટોરન્ટ મોટી સંખ્યામાં આવેલા છે. તેમાં શાસ્ત્રીનગરના આગળના ભાગે આવેલા હોટલ અને રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસમાં પાણીનો નિકાલ શાસ્ત્રીનગરના ભૂગર્ભ ગટર સાથે જોડાણ કરવામાં આવ્યુ છે. આથી હોટલ રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસના પાણી નિકાલ કરતા ભૂગર્ભ ગટરોમા અવારનવાર કચરો ભરાઈ જતા ગટરો ઉભરાયને રસ્તા ઉપર પાણી ફરી વળે છે. આથી દૂષિત પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે. તેમજ પાણીમાંથી દુર્ગંધો આવતા ઘરમાં રહેવું મુશ્કેલ પડી રહ્યું છે. દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવવાનું ભય સતત સતાવ્યા કરે છે. ચોટીલા નગરપાલિકામાં રહીશો દ્વારા જાણ કરવામાં આવતા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનું છતાં હોટલ રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસ સંચાલકો દ્વારા તેની દરકાર લીધા વિના દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવે છે. શાસ્ત્રીનગરના રહીશોની માંગણી મુજબ હોટલ રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા પાણીનો વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે. જેથી દૂષિત પાણી અને રોગચારાના ભયમાંથી લોકોને મુક્તિ મળી રહે તેવી રહીશો દ્વારા માંગ ઉઠી હતી.
ટ્રાફિક સમસ્યા સર્જાઈ:રોજ 50થી વધુ ટ્રેનો પસાર થતા 50 હજારથી વધુ ચાલકો ત્રાહિમામ્
વઢવાણના વિકાસમાં અવરોધક રેલવે ફાટકો બન્યા છે. જેમાં રોજ 50થી વધુ ટ્રેનો પસાર થાય છે. આથી વાઘેલા માળોદ રસ્તો નવો વિકાસ વિદ્યાલય રેલ્વે ફાટક વારંવાર બંધ થાય છે. જેના કારણે વાઘેલા ટીંબા કારિયાણી વડોદ વસ્તડી માળોદ, ખોલડીયાદ, રામપરા, મઢાદ, ટુવા,ગુંદીયાળા, ગામ તરફ જતો બિસ્માર રસ્તા પર 50 હજારથી વધુ લોકો પરેશાન છે. આ અંગે રવજીભાઈ કોળી, મહેન્દ્રસિંહ સોલંકી, વિક્રમસિંહ ડોડિયાએ જણાવ્યું કે વઢવાણ તાલુકાના ગામોને તાલુકા મથક વઢવાણને જોડતો રસ્તો બિસ્માર છે. આ રસ્તા પર વિકાસ વિદ્યાલય અનાથ આશ્રમ, ટાઠી વડલી, કાંગસીયા વસાહતને શોર્ટકટ પડે છે. જ્યારે માળોદ, ખોલડિયાદ, રામપરા, ચાણોણર, ફુલગ્રામ, નાના મઢાદ, ટુવા, ગુંદીયાળા, મોટામઢાદને વઢવાણ તાલુકા મથક માટે ઉપયોગ થાય છે. પરંતુ વિકાસ વિદ્યાલય રેલ્વે ફાટક વારંવાર બંધ થાય છે. આ રેલવે લાઇન રોજ 60 ટ્રેનો પસાર થાય છે. આથી રેલવે ફાટક બંધ રહેતા હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રેલ્વે ફાટકથી વિકાસ વિદ્યાલય સુધીનો હાડકાતોડ રસ્તો છે. આથી કાયમી ઉકેલ માટે ઓવરબ્રિજ બનાવી રસ્તા નવિનીકરણની માંગ ઉઠી છે.
હજારો મુસાફરોને મળશે રાહત:કોઠારીયા લખતરનો 15 કિમી રસ્તો રૂ.106 કરોડના ખર્ચે ફોરલેન બનશે
સુરેન્દ્રનગરના લોકોનો ખાસ કરીને અમદાવાદ સાથે આવવા જવાનો મોટો વ્યવહાર છે. અનેક પરિવાર અમદાવાદ સ્થાયી થયા છે. આથી અનેક લોકો દરરોજ અમદાવાદ જતા આવતા હોય છે. ત્યારે કોઠારીયાથી લખતર સુધી ફોરલેન રોડ રૂ.106 કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરથી વિરમગામ જતો રસ્તો વઢવાણથી કોઠારીયા સુધી ફોરલેન બનાવાયા છે. ત્યાંથી આગળ લખતર સુધી 15 કિમીનો રસ્તો બે માર્ગીય છે. આ રસ્તા ઉપર દિવસેને દિવસે ટ્રાફિક વધુતુ જાય છે. કારણ કે લખતરથી વિરમગામ સુધી સુરેન્દ્રનગરની હોદમાં ફોરલેન રસ્તો બની ગયો છે. ત્યારે આ 15 કિમીનો ટુકડો બે માર્ગીય હતો. જેને પણ રૂ.106 કરોડના ખર્ચે મંજુર કરાયાનું નાયબ દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું. રસ્તાનું કામ પૂર્ણ થઇ ગયા બાદ સુરેન્દ્રનગરથી છેક વિરમગામ સુધી લોકોને ફોરલેન રસ્તાની સુવિધા મળશે. આ રસ્તો હાલ એક બાજુ 9 મીટર પહોળો છે તે બંને બાજુ 27 મીટરનો બનશે. અમદાવાદ જવા 25 મિનિટ બચશે સુરેન્દ્રનગરથી અમદાવાદ જવા બે રસ્તા છે જેમાં 1 વાયા લીંબડી, બીજો વાયા વિરમગામ થઇને. લીંબડીના રસ્તા ઉપર જીઆઇડીસીનું ટ્રાફિક નડે છે. જ્યારે વિરમગામના રસ્તા ઉપર ટ્રાફિક ઓછુ હોય છે. જો આ અધૂરો ફોરલેન પૂરો થઇ જાય તો લોકોને અમદાવાદ જવામાં 25 મિનિટ બચી શકે છે. રસ્તાનો ગેરેન્ટી પિરિયડ ડિસેમ્બરમાં પૂર્ણ થાય છેલખતરનો રસ્તો 12 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. અને તેનો ગેરેન્ટી પિરિયડ 12 વર્ષ બાદ ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થાય છે. ત્યાર બાદ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજે 2 મહિનામાં કાર્યવાહી પૂર્ણ થઇ ગયા બાદ રસ્તાનું કામ ચાલુ થઇ શકેશે. > ડી.આર.પટેલ, ઇજનેર માર્ગ મકાન ભાસ્કર એક્સપર્ટ
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની સુરેન્દ્રનગર શાખા ખાતે સોમવારના રોજ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રાગટ્ય પર્વ ગીતા જયંતીની પરમ પૂજ્ય સંતો, વિદ્યાર્થીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગુરુકુળ પરિસર જ્ઞાન, ભક્તિ અને ધાર્મિક વાતાવરણથી ગૂંજી ઉઠ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર ચરણોમાં દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગીતાજીનું પૂજન અને આરતી કરાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભગવદ્ ગીતાના પસંદગીય શ્લોકોનું ગાન, ગીતા મહાત્મ્યનું વાચન તેમજ ગીતા પર આધારિત નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગુરૂકુળના આચાર્યએ પોતાની વાણીમાં ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નહીં પરંતુ જીવન જીવવાની કળા શીખવતો અમૂલ્ય માર્ગદર્શક ગ્રંથ છે તેવી પ્રેરણાદાયી વાતો કરી હતી. આ પ્રસંગે ગીતા પારાયણ, ધ્યાન, ભજન-કીર્તન અને પ્રેરણાત્મક પ્રવચન દ્વારા સમગ્ર ગુરૂકુળમાં આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. કાર્યક્રમના અંતે, ગુરુકુળના સંચાલક પૂ. આનંદપ્રયસ્વામીજી એ ગીતાજીના અમર સંદેશ - નિષ્કામ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ પર માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગીતાજી યુવાનોને આજના સમયમાં યોગ્ય નિર્ણય લેવા અને જીવનની મુશ્કેલીઓમાં સ્થિર રહેવાની શક્તિ આપે છે. કાર્યક્રમના અંતે, ગુરુકુલના આચાર્યએ વિદ્યાર્થીઓને ગીતાજીના ઓછામાં ઓછા એક શ્લોકને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ ભવ્ય આયોજન દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળે વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સદાચાર અને આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કરવાનો પોતાનો ઉદ્દેશ ફરી એકવાર સાબિત કર્યો હતો. આ કાર્યક્રમમાં સુરત ગુરુકુળથી પધારેલ સંત શ્વેત વૈકુંઠ દાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ વિદ્યાર્થીઓને ગીતા જીવનમાં ખૂબ ઉપયોગી બને છે તે આધારિત મનની વાતો દ્વારા ઉપદેશ આપ્યો હતો. સાથે 800 ઉપરાંત વિદ્યાર્થી તેમજ તમામ કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. ગીતા જયંતી અને એકાદશી સાથે હોવાથી 700 ઉપરાંત બાળકોએ આ મંગલ દિવસે ઉપવાસ કર્યો હતો.
16 લાખમાં મેડિકલ મશીન મગાવ્યું પેકિંગમાંથી પ્લાયવુડ અને પુંઠાં જ નીકળ્યા
મલાડની બિઝનેસ વુમન સાથે છેતરપિંડી ડિલિવરીમાં વિલિંબઃ ચેક પણ બાઉન્સ થયા ઃ વડોદરામાં કંપની ધરાવતા રાજકોટના રહીશ ડો. નિશાંત મહેતાની ધરપકડ મુંબઈ - મુંબઈની બિઝનેસવુમને વડોદરાની એક કંપની પાસેથી ૧૬ લાખમાં એક મેડિકલ મશીન મગાવ્યું હતું. જોકે, બહુ વિલંબ બાદ ડિલિવરી મળી ત્યારે પેકિંગમાંથી મશીનને બદલે ફક્ત પ્લાયવુડ અને પુંઠાં જ નીકળ્યાં હતાં. મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે રાજકોટમાં રહેતા અને વડોદરામાં કંપની ધરાવતા નિશાંત મહેતાની ધરપકડ કરી હતી.
આજે ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ કરપ્શન:જિલ્લામાં 6 વર્ષમાં 25 કેસમાં 42 લાંચીયા કર્મી ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કચેરીઓમાં લાંચરૂશ્વત લેવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં કુલ 25 ગુનાઓમાં 42 કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. જેમાં 1 હજારથી લઇ 1 લાખ સુધીની લાંચ માંગી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ પણ સરકારી કચેરીઓમાં કામ કરાવવા માટે નાણા ધરવા પડતા હોવાની બુમરાડો ઉઠી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં લાંચ લેતા લાંચીયા રાજાઓ સામે કાર્યવાહીની થઇ છે. જેમાં જિલ્લામાં 5 વર્ષમાં કુલ 25 ફરિયાદ નોંધાઇ છે. જેમાં 42 કર્મચારી રંગે હાથ પકડાયાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ પોલીસ, પીજીવીસીએલ, ખાણખનીજ, મામલતદાર કચેરી સ્ટાફ, કલેક્ટર કચેરઓ, પ્રાંત કચેરી સ્ટાફમાં ક્લાસ વન અધિકારીથી લઇ નાના કર્મચારીઓ પણ લાંચ લેતા પકડાયા છે. જેમાં 1 હજારથી લઇ 1 લાખ સુધીની રકમની માંગણી કરાઇ હતી. ભાસ્કર એક્સપર્ટગુનો સાબિત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ લાંચ લેનાર અધિકારી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કાર્યવાહી થતી હોય છે જેમાં જો ગુનો નોંધાય તો કર્મચારી સામે સસ્પેન્ડ કરવાથી લઇ જો ગુનો સાબિત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ છે. > હિરેન મહેતા, એડવોકેટ ભાસ્કર ઈનસાઈડઅપ્રમાણસર રકમોમાં પણ કરોડો સામે આવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વર્ષમાં નોંધાયેલી એસીબીની ફરીયાદોમાં અપ્રમાણસર મિલકતો પણ સામે આવી હતી. જેમાં 2021 એક કેસમાં 5.40 કરોડની અપ્રમાણસર મિલકતો પકડાઇ હતી. જ્યારે એક 2023ના ગુનામાં 88.84 લાખની મિલકત પણ પકડાઇ હતી. જ્યારે 2024ના ગુનામાં 3.31 લાખ ગેરકાયદે મિલકત પકડાઇ હતી.
શાળાના વિદ્યાર્થીઓ બાખડ્યા:ધો.12 અને ધો.9ના વિદ્યાર્થીઓ બાખડ્યા, માથામાં લાકડી મારી
સાયલાના મોડેલે સ્કૂલમાં જર્જરીત સાર્વજનિક હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે અભ્યાસની વ્યવસ્થા શરૂ કરાઇ છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ સાંજના સમયે અચાનક સ્કૂલના વિધાર્થીઓ આમને-સામને આવી ગયા હતા. જેમાં 2 વિદ્યાર્થીઓના માથાના ભાગે ઇજા થતા સારવાર માટે સાયલા દવાખાને લઇ જવામાં લાવ્યા હતા. અચાનક આ બાબતે સાયલા પોલીસને જાણ થતાં પોલીસ સરકારી દવાખાને દોડી ગઇ હતી અને 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને 9 ધોરણના વિદ્યાર્થી હોવાનું બહાર અપાવ્યું હતું અને પ્રાથમિક સારવારમાં માથાના ભાગે લાકડીથી ઇજા થઇ હોવાનું બહાર અપાવ્યું હતું. ઇજાગ્રસ્તને સારવાર આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે સાયલા પોલીસે વધુ તપાસ શરુ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, રાજ્યમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના કેસમાં વધારો થઇ રહ્યો છે. મોબાઇલ ગેમ્સ, હિંસક વીડિયોથી બાળકોની માનસિકતા ઉપર પણ અસર પડી રહી છે. શાળા છુટ્યા બાદ હાઇવે પર બનાવ બન્યો છે સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ છે તેના સમાચાર મને મળ્યા હતા. સાંજે 5 કલાક પછી શાળા છુટ્યા બાદ શાળાની બહાર અને શાળાથી દુર હાઇવે પર બન્યો છે. > ભાર્ગવ દવે, પ્રિન્સિપાલ મોડેલ સ્કૂલ
મુરૂમાં ઘાતકી હત્યા:ધારિયાથી માથું, હાથ અને પગ કાપી બોરવેલમાં નાખી ધડ જમીનમાં દાટ્યું
નખત્રાણાના મુરૂ ગામના 20 વર્ષીય યુવાનની પરિણીત મહિલા સાથેના આડા સબંધને કારણે ક્રુરતાપૂર્વક હત્યા નીપજાવી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. છ દિવસ અગાઉ યુવક ગુમ થતા પોલીસે શોધખોળ આદરી હતી અને શકમંદ આરોપીને ઉઠાવી પૂછપરછ કરતા સહ આરોપી સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતારી ધારિયાથી માથું અને હાથ કાપી બોરવેલમાં નાખી દીધા હતા જયારે ધડને જમીનમાં દાટી દેતા પોલીસે ઘટના સ્થળેથી યુવકના ધડને શોધી લઇ અન્ય અંગો બોરવેલમાંથી બહાર કાઢવાની કવાયત શરૂ કરી છે. આ અંગે પોલીસ સૂત્રો તેમજ સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુરૂ ગામના 20 વર્ષીય રમેશભાઈ પુંજાભાઈ મહેશ્વરીની ગામના જ આરોપી કિશોર મહેશ્વરી અને કાયદાના સંધર્ષમાં આવેલા સગીરવયના આરોપીએ હત્યા નીપજાવી છે. બનાવ અંગે મળેલી વિગતો મુજબ મૃતક યુવક ગત 2 ડીસેમ્બરના ગાયબ થયો હતો. યુવક ગુમ થઇ જતા નખત્રાણા પોલીસે ગુમનોંધ દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન આરોપી કિશોર શંકાના દાયરામાં આવતા પોલીસે તેને ઉઠાવ્યો હતો. જેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મૃતક યુવકને આરોપીના કુટુંબની પરિણીત મહિલા સાથે આડા સબંધ હતા. જેની જાણ થતા બન્ને આરોપીઓએ સાથે મળી હત્યા નીપજાવવાનો કારસો ઘડ્યો હતો. જે બાદ યુવકને ગામની સીમમાં લઇ જઈ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો અને આરોપીઓએ ધારિયાથી તેનું માથું અને હાથપગ કાપી નાખી બોરવેલમાં નાખી દીધા હતા. જયારે મૃતકનો ધડ બોરવેલની બાજુમાં જ જમીન અંદર દાટી નાખ્યો હતો. આરોપીઓની કેફિયત બાદ સોમવારે પોલીસ અને તંત્રની ટીમે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા મૃતકનો જમીનમાં દાટેલો ધડ મળી આવ્યો હતો.જયારે બોરવેલમાંથી મૃતકના શરીરના અંગો કાઢવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ લખાય છે ત્યાં સુધી મળેલી વિગતો મુજબ બન્ને આરોપીને રાઉન્ડઅપ કરી લેવાયા છે અને મૃતકના અંગોની શોધખોળ ચાલુ છે. નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, મામલતદાર રાકેશ પટેલ, નખત્રાણા પીઆઇ એ. એમ. મકવાણા, પીએસઆઇ આર. ડી. બેગડિયા સહિત તંત્રની ટીમો સ્થળ પર શોધખોળમાં મોડી રાત સુધી કામે લાગી હતી. આ બાબતે સત્તાવાર પોલીસનો સંપર્ક સાધતાં હાલ તબક્કે શરીરના અંગો શોધવાની પ્રક્રિયા ચાલુમાં હોઇ સત્તાવાર વિગતો જાહેર કરાઇ નથી. ત્રણ બોરવેલમાં કાપેલા અંગો નાખી દેવાયાઆરોપીઓએ યુવકની ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવ્યા બાદ સીમમાં આવેલા અલગ અલગ ત્રણ બોરવેલમાં અંગો નાખી દીધા હતા.યુવકનું માથું,હાથ-પગ અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ હથિયાર પણ આરોપીઓએ બોરવેલમાં નાખી દઈ ઉપરથી પથ્થરો નાખી દીધા હતા તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન:ભુજ ખાતે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ભુજના રેડક્રોસ ભવન ખાતે પત્રકારઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતાં. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો પત્રકાર, ફોટોગ્રાફર અને માહિતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લાભ લીધો હતો. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોય 9 ડિસેમ્બરના રોજ ગાંધીધામ રેડક્રોસ ભવન, ગાયત્રી મંદિર રોડ ખાતે પણ સવારે 9 કલાકથી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ હેલ્થ કેમ્પમાં રેડક્રોસના ટ્રેઝરર સંજયભાઈ ઉપાધ્યાય, રેડક્રોસના સેક્રેટરી મિરા સાવલીયા, સીનિયર સબ એડિટર ગૌતમ પરમાર, જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક એસ.આઈ.કેવલ, તબીબ ટીમમાં સર્વે જયંતિભાઇ, હર્ષિલભાઇ, જીતુભાઈ સુખડીયા, ઈસીજી ટેક્નિશીયન સુરેશ ચાવડા સહિતના લોકો જોડાયા હતાં.
ભુજના ઐતિહાસિક સ્મારકોને જાણવાની સાથે શહેરના પ્રાણસમા પ્રશ્નો પર યુવાનોની ભાગીદારી વધે તે હેતુસર “અનોખો યુવામંચ” દ્વારા તાજેતરમાં હેરિટેજ વોકનું આયોજન થયું હતું જેમાં ૪૦થી વધુ યુવાનો જોડાયા હતા. આ વોકમાં હોમ્સ ઇન ધ સિટીના જય અંજારિયાએ ભુજની ઓળખસમી પંક્તિ “અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠી બારી, ત્રણ આરા, ચોથી પાવડી ને બજાર વચ્ચે કરી ચાવડી”નું મહત્વ સમજાવતાં ભુજના પાટવાડી ગેટ થી રામકુંડ વચ્ચે જમાદાર ફતેહ મહમ્મદનો ખોરડો-હજીરો, નાનીબા સંસ્કૃત પાઠશાળા, પંચહટડી ચોક, પાવડી, પ્રસાદીનું સ્વામિનારાયણ મંદિર, રઘુનાથજીનો આરો, હાટકેશ્વર મંદિર, જન્નત મસ્જિદ, પાંચ નળ, મહાદેવ ગેટ, દેડકાવાળી વાવ, રામરોટી છાશ કેન્દ્ર અને રામકુંડ સહિત સ્મારકો આવરીને યુવાનોને માહિતગાર કર્યા હતા. વોકના અંતે રામકુંડ ખાતે એકત્ર થયેલા યુવાનો સાથે પાણી, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને ઘન કચરા વિશે ચર્ચા કરવામાં આવી હતી. યુવાનોએ ઐતિહાસિક ધરોહર સમાન સ્થળો સિવિક સેન્સના અભાવે ગંદકીથી ખરડાઈ રહ્યાં છે તેમ જણાવ્યું હતું. આગામી સમયમાં યુવાનો તંત્રનાં સંકલનમાં સ્પોટ ફિક્સિંગ જેવી પ્રવૃતિઓમાં જોડાશે. યુવાનોને જોડીને પાણી, ઘનકચરા, જૈવ વિવિધતા, અસંગઠીત ક્ષેત્રોના કામદારો, અનૌપચારીક બજાર વ્યવસ્થા સહિત મુદ્દાઓ પર મુલાકાતો સાથે ચર્ચા કરવામાં આવશે. હોમ્સ ઇન ધ સીટી, અર્બન એન્વાયરોન્મેન્ટ એજ્યુકેશન, અર્બન સેતુ ટીમ તેમજ કચ્છ યુવા નવનિર્માણ સમાજના પ્રતિનિધિ વોકમાં જોડાયા હતા.
સરપંચ ઉપર આક્ષેપ મૂકાયો:બેલા સરપંચે સગીર વયની છોકરી સાથે લગ્ન કર્યાનો આક્ષેપ
બેલા ગામના સરપંચે સગીર વયની છોકરી સાથે લગ્ન કર્યા હોવાથી સરપંચના પદ પરથી સસ્પેન્ડ કરવા લેખિતમાં અરજી કરાઈ હતી. સરપંચે સગીર વયની છોકરી સાથે લગ્ન કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. શક્તિસિંહ મંગુભા વાઘેલાએ પંચાયતના વિસ્તરણ અધિકારી સમક્ષ સરપંચ લાલજી ગણેશભાઈ ભીલ સામે ફરિયાદ કરી હતી કે સરપંચે જેની સાથે લગ્ન કર્યા છે તેની જન્મતારીખ 15/12/2008 છે. જેથી તેમની ઉંમર 17 વર્ષ થાય છે. આ સાથે નાની હમીરપર પ્રાથમિક શાળાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું. આમ સરપંચે 18 વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા છે. બાળ લગ્ન પ્રતિબંધ કાયદા મુજબ બાળલગ્ન કર્યા હોવાથી સરપંચ દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. સાથે ઉમેર્યું હતું કે, સરપંચને હાલે એક સંતાન પણ હોવાનું જાણવા મળ્યું છે. તેથી તેમને સરપંચના પદ પરથી સસ્પેન્ડ કરવા લેખિતમાં અરજી કરવામાં આવી હતી.
અકસ્માતમાંથી મોત માટે 7.89 લાખનાં વળતરનો આદેશ
ભિવંડીમાં ટુ વ્હિલર ચાલકના મોતના કેસમાં આદેશ અરજીની તારીખથી વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે વળતર એક મહિનામાં આપવા નિર્દેશ મુંબઈ - મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલે ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામેલા ૫૭ વર્ષીય વ્યક્તિના પરિવારને ૭.૮૯ લાખ રૃપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કન્ટેનર ટ્રકના માલિક અને વીમા કંપનીને અરજીની તારીખથી વાષક ૯ ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ધ્રાંગધ્રા અને આડેસર વન વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી:નાના રણમાં મીઠાના અગરમાં બુલડોઝર ફરી વળ્યું
કચ્છના નાના રણમાં સૂરજબારીથી ભીમદેવકા સુધી અંદાજે એક લાખ એકરમાં વિસ્તરેલા ઘુડખર અભયારણ્યમાં રણ માફિયા દ્વારા ગેરકાયદે કબ્જો કરીને દર વર્ષે લાખો ટન મીઠુ પકાવાય છે ત્યારે અભયારણ્યમા ધ્રાંગધ્રા અને આડેસર વન વિભાગની ટીમ દ્વારા નર્મદા સોલ્ટ નામના એકમમા બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ સ્થળે ગેરકાયદે ઉભો કરાયેલા વોશરી પ્લાન્ટ, ઓરડીઓ, કન્ટેનરની ઓફિસો સહિતના બાંધકામ તોડીને જમીન દોસ્ત કરી દેવાયા હતા. નડિયાદની એસઆરપી કંપની તેમજ હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી. બીજી બાજુ સૂરજબારી ચેરાવાંઢ નજીકના રેલવે ફાટક પાસે હથિયારધારી પોલીસ જવાનોનો પહેરો ગોઠવાયો છે જેથી મંજૂરી વિના રણમાં કોઇ પ્રવેશ કરી શકે નહિ. ગેરકાયદે મીઠાંના અગરો તોડી પડાશેઘુડખર અભયારણ્યના ડીએફઓ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાના રણમાં ગેરકાયદે મીઠાના અગર સામે કામગીરી કરાશે. સૂરજબારીથી આડેસર સુધી જે ગેરકાયદે મીઠાના અગરો છે તે તમામ તોડી પડાશે. ચાર દિવસની મહેતલ આપવામાં આવીસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રણમાં જે જુના મીઠાનો સ્ટોક પડેલો છે તેને ઉપાડવા માટે ચાર દિવસની મહેતલ આપવામાં આવી છે. આ બાબતે DFOઓએ સમર્થન આપતાં કહ્યું હતું કે, જેમનો જથ્થો પડ્યો છે તેને ઉપાડી લેવા ચાર દિવસની મહેતલ આપવામાં આવી છે.
દયાપરમાં યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15 માં નાણાપંચ અંતર્ગત તાલુકામાં વિવિધ વિકાસલક્ષી યોજનાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જસુભા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં દિનેશ સતવારાએ લખપત તાલુકામાં જીએમડીસી દ્વારા આજુબાજુના ગામોમાં સીએસઆર ફંડ હેઠળ આરોગ્ય, શિક્ષણ, રમતગમતના સાધનો, રોડ લાઈટ, સફાઈ અભિયાન જેવી યોજનાઓ બનાવી જે ફંડ વાપરવામાં આવે છે તેનો ઉપયોગ ટેન્ડર વિના કરવામાં આવતો હોવાથી જીએમડીસી દ્વારા આ ફંડમાંથી થતા કામો ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવે એવી લેખિત રજૂઆત કરી હતી. તાલુકામાં અમુક પ્રાથમિક શાળાઓની હાલત જર્જરિત હોવાની રજૂઆતના પગલે તાલુકા પ્રાથમિક ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી હર્ષદ પંચાલે આવી પ્રાથમિક શાળાઓને તોડી પાડવા માટેની દરખાસ્ત ઉચ્ચકક્ષાએ મોકલી હોવાનું જણાવ્યું હતું. આરંભે ઉપસ્થિત સભ્યોને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વિકાસ ચંદેએ આવકાર્યા હતા. ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર, સા.ન્યા.સમિતિ ચેરમેન દિનેશ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય મીનાબા જાડેજા, વિપક્ષી નેતા સમરતદાન ગઢવી તેમજ સભ્યો સાથે ના. હિસાબી નિમિષ પટેલ, હિસાબનીસ ગજેન્દ્ર ભટ્ટી, વિહોલા, તાલુકા હેલ્થ ઓફિસર કે. કે. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:ગટર,પાણીના કામ થયા ત્યાં પણ રકમ ફાળવાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરી મહિના દરમિયાન જાહેર થાય એવી શક્યતા નજરે નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છેલ્લા બોલે વધુને વધુ વિકાસ કામો કરી જવાની વેતરણમાં છે. જેમાં જિલ્લા પંચાયતે સદસ્યને 15માં નાણા પંચની વ્યાજની રકમમાંથી પાણી અને ગટરના કામો માટે રકમ ફાળવવા સામાન્ય સભા બોલાવવાનું નક્કી કર્યું છે. પરંતુ, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ગટર અને પાણીના કામો થઈ ગયા છે, જેથી એ રકમ ખર્ચવા પરાણે રોડ રસ્તા તોડી લાઈનો પાથરવાની નોબત આવી છે! ભુજ સહિતના શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસ કામો થતા હોય છે. જોકે, એમાં વિસ્તાર વિકાસ સત્તા મંડળોને સત્તા અધિકાર હોય છે. પરંતુ, મોટેભાગે નગરપાલિકા દ્વારા જ કામો થતા હોય છે. જ્યારે ગ્રામ્ય સ્તરે વિકાસ કામો માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપરાંત ધારાસભ્ય અને સાંસદ પણ ગ્રાન્ટ ફાળવે છે. રાજ્ય સરકારે 15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી માત્ર પાણી અને ગટરના કામો કરવાની નીતિ અપનાવી છે. જિલ્લા પંચાયત પાસે 15માં નાણા પંચની ગ્રાન્ટની રકમથી મળેલી વ્યાજની રકમ 4 કરોડ જેટલી વપરાયા વિના પડી છે, જેથી દરેક સદસ્યને ફાળવવા 15મી ડિસેમ્બરે બોલાવવા નક્કી થયું હતું. પરંતુ, રવિવારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી. આર. પ્રજાપતિની ગાંધીનગરમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક તરીકે તાત્કાલિક મૂકાયા છે. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી ગાૈતમ ઉત્સવને પણ બદલીની ગંધ આવી ગઈ હોય એમ સામાન્ય સભાની તારીખ 1લી જાન્યુઆરીએ ઠેલી દીધાની અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, 15માં નાણા પંચની ગ્રાન્ટની વ્યાજની રકમમાંથી પાણી અને ગટરના વિકાસ કામો માટે સદસ્યોને રકમ ફાળવવા સામાન્ય સભા મળવાની છે. પરંતુ, પાણી અને ગટરના કામો થઈ ગયા હોય તોય નિયમ મુજબ એ રકમ એવા કામો પાછળ કેમ ખર્ચવી એ મૂંઝવણ પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ અને સદસ્યો અનુભવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કેટલાક સદસ્ય સી.સી. રોડ તોડીને બાજુમાં બીજી લાઈનો પાથરીને પણ રકમ ખર્ચે એવી નોબત આવી ગઈ છે, જેથી રકમ પાણીમાં જાય એવો તાલ સર્જાયો છે. વિકલ્પ આપવા રજૂઆત કરી હતી : જનકસિંહજિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ પાણી અને ગટરના વિકાસ કામોમાં જ રકમ વાપરવાની છે. પરંતુ, સદસ્યોના વિસ્તારોમાં એ કામ થઈ ગયા હોય તો પછી એજ કામમાં કેમ વાપરવી એ મુદ્દે ગાંધીનગરમાં રૂબરૂમાં રજુઆત કરી હતી. વિકલ્પ આપવાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો, જેથી અન્ય જરૂરી વિકાસ કામો થઈ શકે. દરેક સદસ્યને 10 લાખ રૂપિયા ફાળવાશે15માં નાણા પંચની ગ્રાન્ટની રકમના વ્યાજની રકમ 4 કરોડ જેટલી છે. જે વપરાયા વિના પડી રહી છે, જેમાંથી દરેક સદસ્યને 10-10 લાખ રૂપિયા ફાળવાશે.

33 C