SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

કચ્છમાં રૂ. 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ:બેંક ખાતા ખોલાવી છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી કમિશન મેળવનાર એક આરોપી ઝડપાયો

પશ્ચિમ કચ્છ-ભુજ સાયબર ક્રાઈમ સેલે રૂ. 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. બેંક ખાતા ખોલાવી તેમાં છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ચેક દ્વારા ઉપાડી કમિશન મેળવનારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડ દ્વારા કુલ રૂ. 1,05,12,52,826/- (એક અબજ પાંચ કરોડ બાર લાખ બાવન હજાર આઠસો છવ્વીસ રૂપિયા) મેળવ્યા હતા. આ નાણાં ચેક દ્વારા ઉપાડી તેઓ કમિશન મેળવતા હતા. સમન્વય પોર્ટલ પરથી બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ તપાસના આધારે શુભમ હરિહર ડાભી (ઉં.વ. 29, રહે. સાગર સિટી, મુંદ્રા રોડ, ભુજ)નું નિવેદન લેવામાં આવ્યું હતું. પુરાવા મળતા, સરકાર વતી ફરિયાદી બનીને શુભમ હરિહર ડાભી, જીગર મહેન્દ્રભાઈ પરગડુ (રહે. હિરાની નિવાસ, છાડુરા, તા. અબડાસા, કચ્છ) અને ભાવિક (HDFC બેંકના કર્મચારી, રહે. ભુજ) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરી તેને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 9:21 pm

2010 થી 2015 માં નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 10 વર્ષ પહેલા ફેઈલ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવાની છેલ્લી તકરૂપે 26 મીથી એક્ઝામ લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2010 થી 2015 સુધીમાં બેકલોગ બાકી રહેલા એટલે કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવા માટેની છેલ્લી તક સ્વરૂપે પરીક્ષા વિભાગ દ્વારા એક્ઝામનું શિડયુઅલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સ્નાતક કક્ષાએ સેમ.5 અને 6 તો અનુસ્નાતક કક્ષાએ સેમ. 3 અને 4 માટેની પરીક્ષા આગામી તા.26 મી ડિસેમ્બરથી શરૂ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા શિડયુઅલ મુજબ આર્ટસ ફેકલ્ટીમાં BA, BSW અને બી.એ હોમ સાયન્સ માં સેમ.5 અને 6 તેમજ એમ.એ, એમ.એસ.ડબલ્યુ, એમ.એલ.ડબલ્યુમાં સેમ.3 અને 4 વિધાર્થીઓની પરીક્ષા સવારે 10.30 થી 1 અને બપોરે 2.30 થી 5 વાગ્યા સુધી ચાલશે. આ જ રીતે કાયદાના કોર્સમાં એલ.એલ.બી.સેમ.5 અને 6 તેમજ બી.એ.એલ.એલ.બી.સેમ.5 અને 7ની પરીક્ષા પણ તા.26 મીથી શરૂ થશે. આ ઉપરાંત બિઝનેસ મેનેજમેન્ટમાં BBA સેમ.5 અને 6ની તો કોમર્સમાં બીકોમ અને એમ.કોમ.માં સેમ.3,4,5 અને 6ની પરીક્ષા પણ લેવામાં આવશે.સાયન્સ ફેકલ્ટીમાં બી.સી.એ., બીએસ.સી, બીએસ.સી આઈ ટી, એમએસ.સી., એમએસ.સી. આંકડાશાસ્ત્ર, એમએસ.સી.આઈ.ટી.માં સેમેસ્ટર -3,4,5 અને 6 તો પરફોર્મન્સ આર્ટસમાં બીપીએ અને એમપીએમાં માં સેમ.3,4,5 અને 6, હોમ સાયન્સમાં બીએસસી એચ.એસ., એમએસ.સી. એચ.એસ. સેમ.3 થી 6 અને રૂરલ સ્ટડીઝમાં અગાઉના નાપાસ થયેલા પણ પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષા તા.26 ડિસેમ્બરથી શરૂ થશે તો B. ED. ની પરીક્ષા માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. તેમજ આ પરીક્ષાનું કેન્દ્ર યુનિવર્સિટી કેમ્પસના કોઈ પણ ભવનમાં રહેશે. તેમજ આ પરીક્ષાઓનું પુનઃ મૂલ્યાંકન પણ કરવામાં આવશે નહીં તેવું પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બેકલોગ ક્લિયર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલુ મહિનામાં પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ કોઈ ઉમેદવારોને પરીક્ષા ફોર્મ ભરવાનું બાકી રહી હોય તો તેઓ તાત્કાલિક કોલેજ ખાતે પહોંચી ફોર્મ ભરી શકશે. જે બાદ 13 ડિસેમ્બરના બપોરે 3:30 વાગ્યા સુધીમાં કોલેજના કર્મચારી દ્વારા પરીક્ષા વિભાગ 1 માં વિદ્યાર્થીઓના ફોર્મ રેગ્યુલર ફી, લેટ ફી અને પેનલ્ટી ફી સાથે ફોર્મ ભરવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 9:07 pm

જુનાગઢની ધોરાજી ચોકડી આગની ઘટના:ટેન્કર નજીક વેલ્ડિંગથી બની આગની ઘટના,વેલ્ડિંગના સ્પાર્કથી આગ લાગતા ટ્રાન્સફોર્મર બળીને ખાખ, મોટી દુર્ઘટના ટળી

​જુનાગઢમાં ધોરાજી ચોકડી પાસે આજે સાંજના સમયે એક મોટી આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. એક ખાલી ટેન્કર અને તેની નજીક પડેલા ફેબ્રિકેશનના સામાન વચ્ચે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન સ્પાર્ક થવાથી આગે લાગી હતી.આ ઘટનામાં કેબિન અને નજીક આવેલું વીજળીનું ટ્રાન્સફોર્મર પણ આગની ઝપેટમાં આવી જતાં ધડાકાભડાકા થવા લાગ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ધોરાજી ચોકડી નજીક ફેબ્રિકેશન યુનિટ પાસે ટેન્કર રિપેરિંગ માટે ઊભું હતું જ્યારે વેલ્ડિંગનું કામ ચાલુ હતું, ત્યારે તેમાંથી નીકળેલા સ્પાર્કને કારણે આગ લાગી ગઈ હતી. કેબીનમાં આગ લાગવાથી આગ ઝડપથી પ્રસરી કે તેણે બાજુમાં રહેલા વીજ ટ્રાન્સફોર્મરને પણ પોતાની લપેટમાં લઈ લીધું હતું. ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના કારણે એક પછી એક જોરદાર ધડાકા થવા લાગ્યા, જેનાથી આસપાસના વિસ્તારના લોકો ગભરાઈને દૂર ભાગ્યા હતા. આ ધડાકાને કારણે વીજળી પુરવઠો પણ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ જુનાગઢ ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને લગભગ 2000 લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઈટર્સની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આખરે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. PGVCL અને ફાયર વિભાગ દ્વારા સમયસર લેવાયેલા પગલાંને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 9:06 pm

રાજકોટ સમાચાર:રાજકોટના હાર્દસમા સર્વેશ્વર ચોકમાં ગંદકી અને દબાણનો ત્રાસ: વેપારીઓમાં રોષ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળાનું કામ પૂર્ણ થયાને મહિનાઓ વીત્યા હોવા છતાં ગંદકીની સમસ્યા જૈસે થે જોવા મળી રહી છે. કરોડો રૂપેિયાના ખર્ચે બનેલા આલીશાન શો-રૂમની બિલકુલ સામે બાંધકામ વેસ્ટ અને કચરાના ઢગલા ખડકાયેલા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અગાઉ મહિનાઓ સુધી વોકળાનું કામ ચાલવાને કારણે વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા, ત્યારે હવે કામ પૂરું થયા પછી પણ તંત્ર દ્વારા સફાઈ કરવામાં આળસ દાખવવામાં આવતા રોષ વ્યાપ્યો છે. ઉપરાંત, સર્વેશ્વર ચોક ખાતે પાર્કિંગ માટેની જગ્યામાં ખાણી-પીણીના સ્ટોલધારકોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા અને શિવમ બિલ્ડીંગના પ્રમુખ દ્વારા મહાપાલિકાને તાત્કાલિક આ દબાણો હટાવવામાં આવે અને કચરાનો નિકાલ કરવાની અપીલ કરવામાં આવી છે. મનપાના વાહન ચાલકનીબેદરકારી, લીમડા ચોકે સેફટી ટેન્કરે બાઈક સવાર યુવાનોને ઠોકરે લીધા રાજકોટમાં થોડા મહિલા પહેલા રાજકોટ મહાનગર પાલિકાની સિટી બસે સિગ્નલ બંધ હતું, ત્યારે પુુરપાટ ઝડપે ચલાવી અનેક વાહનોને હડફેટે લઈ 4 લોકોના મોત નિપજાવ્યા હતા. આવો બનાવ બનતા આજે સહેજમાં અટકયો છે. જેમાં આજે બપોરે 2.30 વાગ્યા આસપાસ રાજકોટના લીંમડા ચોકમાં ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ હોવાથી બાઈક સવાર બે યુવાનો નિયમનું પાલન કરતા સ્ટોપ લાઈન પાસે ઉભા હતા.બાઈક ઉભું ત્યાં પાછળથી રાજકોટ મનપાને સેફટીક ટેન્ક ટ્રક પુરઝડપે આવ્યો અને બાઈકને હટફેટે લેતા બાઈક પર બેઠેલા બંને યુવાનો જમીન પર ફસડાઈ પડયા હતા. દરમિયાન અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. રાજકોટ એસટી વિભાગને વધુ 14 નવી બસો ફાળવાઈ રાજકોટ એસ.ટી. વિભાગને 14 નવી બસોની ફાળવણી સેન્ટ્રલ ઓફીસ દ્વારા કરવામાં આવી છે. અને રાજકોટ વિભાગીય નિયામકે આ તમામ બસોને જુદા જુદા ડેપો માટે ફાળવી દીધી છે. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ તાજેતરમાં સેન્ટ્રલ ઓફીસે જે 14 બસો રાજકોટ વિભાગને ફાળવી છે. તેમાં વાંકાનેર ડેપોને 4, ગોંડલને 2, લીંબડીને 2, જસદણને 1, રાજકોટ ડેપોને 4, તથા સુરેન્દ્રનગર ડેપોને એક નવી બસની ફાળવણી કરવામાં આવી છે. એસ.ટી. વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ નવી બસો રાજકોટથી અમદાવાદ, ભાવનગર અને સુરત રૂટ ઉપર દોડશે. તથા ગોંડલથી અંબાજી અને ભૂજ તેમજ જસદણથી સુરત-જાલોદ અને સુરેન્દ્રનગરથી અમદાવાદ, માંડવી અને પાવાગઢ રૂટ ઉપર ઉપરાંત વાંકાનેરથી ડુમાકા, ગાંગડી, ગોંડલથી જાલોદ અને લીંબડીથી નારાયણ સરોવર રૂટ ઉપર નવી બસો જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:58 pm

સાયબર ફ્રોડ આચરનાર ટોળકીનો સભ્ય ખેડામાંથી ઝડપાયો:ફેક ફર્મ બનાવી IPOના નામે મ્યુઅલ એકાઉન્ટ દ્વારા 1.79 કરોડની છેતરપિંડી કરી હતી, આરોપીના એકાઉન્ટ સામે 26 રાજ્યમાં ફરિયાદ

વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. નકલી ફર્મો બનાવીને કોર્પોરેટ બેંક ખાતાઓ (મ્યુઅલ એકાઉન્ટ્સ) ખોલાવીને છેતરપિંડીના પૈસાની હેરફેર કરતી ટોળકીના એક સભ્યને ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી રૂ.1.79 કરોડથી વધુની છેતરપિંડીનો ભોગ બન્યો હતો. ઓનલાઇન ટ્રેડિંગ અને IPOમાં રોકાણની લાલચ આપીઆ સમગ્ર મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને અલગ-અલગ વ્હોટ્સએપ નંબરો દ્વારા સંપર્ક કરીને વ્હોટ્સએપ ગ્રુપ્સમાં જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ બનાવટી વેબસાઇટ્સ મોકલીને રજિસ્ટ્રેશન કરાવડાવીને ઓનલાઇન ટ્રેડિંગ અને IPOમાં રોકાણની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ SBI સિક્યુરિટીઝ અને નિવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડના ખોટા દસ્તાવેજો બનાવીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. પ્રોફિટને વિડ્રો કરવાનો પ્રયાસ કરતા પૈસા મળ્યા ન હતાફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં રૂ.1,81,37,900ની રકમ ટુકડે-ટુકડે ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. વિશ્વાસ આપવા માટે રૂ.2,22,100 પ્રોફિટ તરીકે પરત કરવામાં આવ્યા હતા, પરંતુ બનાવટી વેબસાઇટમાં દર્શાવાતા વધુ પ્રોફિટને વિડ્રો કરવાનો પ્રયાસ કરતા પૈસા મળ્યા ન હતા. આમ કુલ રૂ.1,79,15,800ની છેતરપિંડી થઈ હતી. આરોપીનું લોકેશન ખેડા જિલ્લાના માતરમાં મળ્યું સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપીનું લોકેશન ખેડા જિલ્લાના માતરમાં મેળવ્યું હતું. એક ટીમ મોકલીને આરોપી મયુરકુમાર કાળુભાઇ રબારી (ઉંમર 26 વર્ષ, ધંધો: વેપાર, રહેવાસી: તા. માતર, જિ. ખેડા)ની ધરપકડ કરવામાં આવી છે. મ્યુઅલ એકાઉન્ટ્સ દ્વારા કરોડોની હેરાફેરી થઈ હતીઆરોપીની તપાસમાં જાણવા મળ્યું કે, તેણે અન્ય આરોપીઓ સાથે મળીને નકલી ફર્મ બનાવીને મ્યુઅલ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા અને તેના દ્વારા ફ્રોડના પૈસાની હેરફેર કરી હતી. તેના બેંક એકાઉન્ટ્સમાં રૂ. 1,82,77,774થી વધુના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. NCCRP પોર્ટલ પર ચેક કરતા આરોપીના એકાઉન્ટ્સ વિરુદ્ધ 26 અલગ-અલગ રાજ્યોમાં કમ્પ્લેઇન્ટ્સ નોંધાઈ છે. ગુનાની મોડસ ઓપરેન્ડી સેફટી ટિપ્સ

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:52 pm

અંકલેશ્વરના દઢાલ ગામે ફૈઝલ પટેલે AAP પર નિશાન સાધ્યું:ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જ બે મુખ્ય પક્ષો, આમ આદમી પાર્ટીનું કોઈ સ્થાન નથી

અંકલેશ્વરના દઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં AAPનું કોઈ સ્થાન નથી, અહીં ભાજપ અને કોંગ્રેસ જ બે મુખ્ય પક્ષો છે. મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે દઢાલ ગામમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રદેશ રાજકારણ, સામાજિક મુદ્દાઓ અને આગામી ચૂંટણીઓ અંગે નિવેદનો આપ્યા હતા. ફૈઝલ પટેલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના તાજેતરના દારૂ અને ડ્રગ્સ વિરોધી નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે જીગ્નેશ મેવાણી તેમના નજીકના મિત્ર છે અને એક ક્રાંતિકારી નેતા છે, જેમના જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસ પણ કરી શકતી નથી. તેમણે ઉમેર્યું કે ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને દારૂ-ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવો એ સમયની માંગ છે. આમ આદમી પાર્ટી અંગે ફરીથી નિવેદન આપતા ફૈઝલ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં AAPનું કોઈ ભવિષ્ય નથી, કારણ કે ગુજરાત ભાજપ અને કોંગ્રેસનો ગઢ રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, દઢાલ ગામમાં આ કોમ્યુનિટી હોલનું નિર્માણ મર્હુમ સાંસદ અહેમદ પટેલના આર્થિક સહયોગથી ટાઈગરતીહ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ હોલનું લોકાર્પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:51 pm

બોટાદ DDO એ કુંડળ ગામની મુલાકાત લીધી:વિકાસ કાર્યો, સ્વચ્છતા અને શૈક્ષણિક સંસ્થાઓની સમીક્ષા કરી

બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાએ બરવાળા તાલુકાના કુંડળ ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ પંચાયત કચેરી અને ગામની વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગામના વિકાસ, સ્વચ્છતા, પોષણ અને શૈક્ષણિક સંસ્થાઓનું સ્થળ પર અવલોકન કરી જરૂરી માર્ગદર્શન આપવાનો હતો. ગ્રામ પંચાયત કચેરી ખાતે, DDO એ ચાલુ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. તેમણે વેરા વસૂલાતની સ્થિતિ, મફત પ્લોટ વિતરણ અને ગામતળ નીમ યોજના અંગે વિગતો મેળવી. પંડિત દીનદયાળ આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના બાંધકામની પ્રગતિનું પણ સ્થળ પર નિરીક્ષણ કર્યું. ગામમાં CCTV કેમેરા સ્થાપન અંગે પણ જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડીની મુલાકાત દરમિયાન, તેમણે સ્વચ્છતા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. કુપોષિત બાળકોનું વજન અને તેમની પોષણ સ્થિતિની ચકાસણી કરી, તેમજ THR દ્વારા FRSની વિતરણ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું. આંગણવાડી કર્મચારીઓને પોષણ સંગમ એપ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાની મુલાકાતમાં વિદ્યાર્થીઓની નિયમિતતા, મધ્યાહન ભોજનની ગુણવત્તા અને શિક્ષકોની હાજરી જેવા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. ધોરણ 1 થી 5ના નાના બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા પાસેના સ્ટેટ હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા અંગે કાર્યપાલક ઈજનેર સાથે ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં, જિલ્લા વિકાસ અધિકારીએ બરવાળા તાલુકા પંચાયત કચેરીના રિપેરિંગ કામની મુલાકાત લીધી. તેમણે જરૂરી સૂચનો આપ્યા અને સ્ટાફ સાથે સંવાદ કર્યો. આ મુલાકાત દરમિયાન બરવાળા પ્રાંત અધિકારી સંજય ચૌધરી અને તાલુકા વિકાસ અધિકારી કે.બી. પટેલ સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:44 pm

સગીર સાથે બળજબરીથી લગ્ન કરી સંબંધ બાંધનારને એક વર્ષની સજા:લગ્ન કરાવનાર માતા-પિતા અને અન્ય જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા આદેશ

ઓઢવ વિસ્તારમાં સગીરા સાથે બળજબરીથી લગ્ન અને શારીરિક સંબંધના કેસમાં આરોપીની સજા ફટકારવામાં આવી છે. સ્પે. પોક્સો કોર્ટે આરોપીને એક વર્ષ કેદની સજા ફટકારી છે. તેમજ સગીરાના બાળ લગ્ન કરાવનાર માતા-પિતા અને અન્ય જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, બાળ લગ્ન પર પ્રતિબંધક ધારાની કલમ 10 મુજબનો ગુનો થાય છે. ઓઢવ પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અધિકારીને આ ગુના માટે અન્ય કોઈ જવાબદાર જણાય તો તેઓ વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. તેમજ અધિકારીને તપાસ પૂર્ણ કરી સક્ષમ અદાલતમાં રિપોર્ટ રજૂ કરવો. મહત્વનું છે કે કોર્ટમાં બળાત્કાર કેસમાં આરોપી યુવકને નિર્દોષ છોડવામાં આવ્યો હતો. જેને ચાઇલ્ડ મેરેજ એક્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે અને એક વર્ષની સજા કરવામાં આવી છે. અર્ધનગ્ન ફોટા અને વીડિયો મોબાઈલમાં પાડી દીધા 17 વર્ષની સગીરાની સગાઈ તેના વિસ્તારમાં રહેતા એક એક યુવક સાથે કરવામાં આવી હતી. તે સમયે તેની ઉંમર લગ્ન કરવા જેટલી ન થઈ હોવાથી લગ્ન કર્યા નહોતા. જેથી સગાઈ બાદ એકવાર સગીરાને યુવક તેના ઘરે લઈ ગયો હતો અને અર્ધનગ્ન ફોટા અને વીડિયો મોબાઈલમાં પાડી દીધા હતા. જે બાદ યુવકે ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને લગ્ન કરવા માટે દબાણ પણ કર્યું હતું. જેથી સમાજના લોકોની ઉપસ્થિતિમાં 15 જૂન 2021ના લગ્ન કરવામાં આવ્યા હતા. સગીરાની મરજી વિરુદ્ધ યુવક શારીરિક સંબંધ બાંધતો હતોજે બાદ સગીરાની મરજી ન હોવા છતાં યુવક શારીરિક સંબંધ બાંધતો હતો. જેથી થોડા જ દિવસમાં સગીરા પોતાના ઘરે પરત આવી ગઈ હતી. જે બાદ પણ યુવકે ફોટા વાઇરલ કરવાની ધમકી આપતા ઓઢવ પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને ચાઇલ્ડ મેરેજ એક્ટમાં દોષિત ઠેરવી એક વર્ષની સજાકેસ દરમિયાન સરકારી વકીલ કમલેશ જૈન અને ડીએમ ઠાકોરે પુરતા સાક્ષી તપાસી કોર્ટને જણવ્યું હતું કે, આરોપી સામે કેસ પુરવાર થાય છે. સગીર હોવા છતા લગ્ન કર્યા બાદ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારે આરોપીને યોગ્ય સજા થવી જોઈએ. કોર્ટે બળાત્કાર કેસમાં આરોપીને નિર્દોષ છોડ્યો હતો, પરંતુ ચાઇલ્ડ મેરેજ એક્ટમાં દોષિત ઠેરવી એક વર્ષની સજા ફટકારી છે. ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી તરફે રજૂ કરાયેલા લગ્નના દસ્તાવેજોથી જ ભોગ બનનાર સાથે બાળલગ્ન થયાની હકીકત રેકર્ડ પર સ્પષ્ટ થાય છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:42 pm

PDEU 2025ના કોન્વોકેશનમાં 2,195 વિઘાર્થીઓને ડિગ્રી એનાયત:મુકેશ અંબાણીએ કહ્યું, AIના યુગમાં સાચો લીડર એ છે જે સાચા પ્રશ્નો પૂછે, સુધીર મહેતાએ વિદ્યાર્થીઓને ત્રણ મંત્રો આપ્યા

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી(PDEU)માં આજે 13મો કોન્વોકેશન ઉત્સાહભેર યોજાયો હતો. કોન્વોકેશનમાં કુલ 2,195 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા જેમાં 41 પીએચડી વિદ્વાનો અને મેરિટ મેડલ વિજેતાઓનો પણ સમાવેશ થાય છે. ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતાં.જ્યારે PDEUના પ્રમુખ ડૉ. મુકેશ અંબાણીની ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓ, માતાપિતા અને કેમ્પસના શૈક્ષણિક સમુદાયને પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. મુકેશ અંબાણીએ વિઘાર્થીઓને કહ્યું, AIના યુગમાં સાચો લીડર એ છે જે સાચા પ્રશ્નો પૂછે.સુધીર મહેતાએ વિદ્યાર્થીઓને ત્રણ મંત્રો આપ્યા હતા. 'AIના યુગમાં જવાબો કરતા પ્રશ્નો વધુ મહત્વના'ગાંધીનગરમાં પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)ના 13મા કન્વોકેશનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતના ટેક્નોલોજીકલ ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારત આજે વિકાસના નિર્ણાયક તબક્કે છે અને હવે દેશને ક્રિટિકલ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને નવી ઊર્જા જેવા ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે. આ રેસમાં જોહ જીતે વ્હી સિકંદર અને મોદીજીના ડાયનામિક નેતૃત્વ હેઠળ ભારત જીતશે, ભારત આગળ વધશે અને દુનિયા બદલી નાખશે, એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું. AIના યુગમાં જવાબો કરતા પ્રશ્નો વધુ મહત્વના હોવાનું કહી તેમણે યુવાઓને મોટા સપના જોવા અને સતત જિજ્ઞાસુ રહેવા પ્રેરિત કર્યા. ChatGPT જવાબ આપી શકે છે, પરંતુ સાચા પ્રશ્નો તમે જ પૂછવાના એમ તેમણે ઉમેર્યું. સુધીર મહેતાએ વિદ્યાર્થીઓને ત્રણ મંત્રો આપ્યાઆ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ સુધીર મહેતાએ કહ્યું કે, આ ડિગ્રી વર્ષોની તપસ્યાનું ફળ છે. PDEUની શરૂઆત 2007માં ત્યારેના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયેલા દ્રષ્ટિવંત પ્રયાસથી થઈ હતી અને આજે તે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતું મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી બની ગયું છે. તેમણે વિદ્યાર્થીઓને જીવન માટે ત્રણ માર્ગદર્શક સૂત્ર આપ્યા આત્મનિર્ભરતા, વિશાળ વિચાર, અને ટેક્નોલોજી સાથે મૂલ્યોનું સંતુલન. ટેક્નોલોજી શક્તિ આપે છે, પરંતુ મૂલ્યો દિશા આપે છે, એમ તેઓએ સંદેશ આપ્યો. 2026માં 2+2 આંતરરાષ્ટ્રીય B.Tech પ્રોગ્રામ શરૂPDEUના ડિરેક્ટર જનરલ પ્રોફ. સુન્દર મનોહરણે વાર્ષિક અહેવાલ રજૂ કરતા જણાવ્યું કે, યુનિવર્સિટીએ આ વર્ષે અનેક ઉત્તમ સિદ્ધિઓ નોંધાવી છે. NIRF રેન્કિંગમાં PDEU એન્જિનિયરિંગમાં 98મું, મેનેજમેન્ટમાં 89મું અને ઈનોવેશન કેટેગરીમાં દેશના ટોચના 50 સંસ્થાઓમાં સ્થાન પામી છે. QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2025માં 851–900 બેન્ડમાં PDEUની પ્રથમ એન્ટ્રી નોંધાઈ છે. ઉપરાંત ત્રણ B.Tech પ્રોગ્રામને NBA તથા Washington Accord એક્રેડિટેશન મળ્યું છે. તેમણે 2026થી શરૂ થનારા 2+2 આંતરરાષ્ટ્રીય B.Tech પ્રોગ્રામ (University of Tulsa, USA)ની જાહેરાત કરી. 2,000 મહિલાઓ અને યુવાઓને સોલાર ટેકનિશિયનની તાલીમપ્રોફ. મનોહરણે ગુજરાતનું પ્રથમ અકાડેમિક BSL-3 લેબ, સેટેલાઇટ ગ્રાઉન્ડ સ્ટેશન, અને ઇન્ડો–ઓસ્ટ્રેલિયા સોલાર રૂફટોપ એકેડેમી જેવી મહત્વપૂર્ણ પહેલોની વિગતો આપી. USD 1 મિલિયન ગ્રાન્ટથી શરૂ થઈ રહેલી આ એકેડેમી આગામી બે વર્ષમાં 2,000 મહિલાઓ અને યુવાઓને સોલાર ટેકનિશિયન તરીકે તાલીમ આપશે. PDEUનું નવા ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા 2027માં લોન્ચ થનારા ભારત સેટેલાઇટને ટ્રેક કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે, જેનાથી યુનિવર્સિટી સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રે પણ અગ્રણીઓમાં સામેલ થઈ છે. સેમિકન્ડક્ટર ફ્રન્ટએન્ડ ફેબ સુવિધા અને સોલાર ટ્રેનિંગ એકેડેમીકન્વોકેશન દરમિયાન મહાનુભાવો BSL-3 લેબ, સેમિકન્ડક્ટર ફ્રન્ટએન્ડ ફેબ સુવિધા અને સોલાર ટ્રેનિંગ એકેડેમીની મુલાકાતે ગયા. સમગ્ર કાર્યક્રમનું વેબકાસ્ટ પણ કરવામાં આવ્યું. PDEUએ ઊર્જા, ટેક્નોલોજી, ઈનોવેશન અને વૈશ્વિક શિક્ષણના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે અને આજે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓને જ્ઞાન અને ઈનોવેશનના એમ્બેસેડર તરીકે અભિહિત કરવામાં આવ્યા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:36 pm

અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલ માટે તૈયાર થઈ જાઓ:કિર્તીદાન અને ગીતા રબારીનું લાઈવ પરફોર્મ; મનન અને ઓમ ભટ્ટ સ્ટેન્ડ અપ કોમેડીથી લોથપોથ કરશે; જાણો 7 દિવસના કાર્યક્રમનું લિસ્ટ

અમદાવાદીઓ માટે સૌથી જાણીતો અને લોકો માટે પ્રખ્યાત એવા કાંકરિયા કાર્નિવલ 2025ની 25 ડિસેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ચાલુ વર્ષે 25થી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઈટ એન્ડ સાઉન્ટ શો અને દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે. સાત દિવસના આ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક-કલાકારો જેમાં 25 ડિસેમ્બરે કિર્તીદાન ગઢી અને પ્રિયંકા બાસુ એન્ડ ઓરકેસ્ટ્રા, 26 ડિસેમ્બરે સંકેત ખંડેર બેન્ડ, 27 ડિસેમ્બરે પાર્થ ઓઝા અને શિવાની દેસાઈ, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી અને નિરજ ગજ્જર તથા અક્ષય તમયચે અને મિતાલી નાગ લાઈવ કોન્સર્ટ કરશે. જ્યારે 29 ડિસેમ્બરે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો, 30 ડિસેમ્બરે બ્રીજદાન ગઢવી અને 31 ડિસેમ્બરે ઇશાની દવે મ્યુઝિક પર્ફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમોAMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે કાંકરિયા કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે. AMC દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રાત્રે 10 વાગ્યે ડ્રોન શો થશે. મહિલાઓ-બાળકો માટે અલગ અલગ સેશન અને કાર્યક્રમો26 ડિસેમ્બરથી ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુઝિકલ પર્ફોર્મન્સ, જ્વેલરી મેકિંગ વર્કશોપ, સોશિયલ મીડિયા વર્કશોપ, જાદુગરના શો અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ વિવિધ શો પણ યોજાશે. વિખૂટા પડેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઊભું કરાશેકાંકરિયા પરિસરમાં જુદાં-જુદાં સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઈ છે. વિખૂટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઊભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ હાજર રહેશે. કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશેવધુમાં દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલ ઉદ્ધાટનની સાથે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેનાથી લોકોને સુખ સુવિધામાં વધારો થશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:32 pm

જુનાગઢમાં બાયોટેકનોલોજીનો મહાકુંભ:​ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જુનાગઢમાં બે દિવસીય મેગા સેમિનાર: વન્યજીવ સંરક્ષણ અને બાગાયતી પાકોની ઉત્પાદન ક્ષમતા વધારવા પર વિશેષ મંથન

ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જુનાગઢને બાયોટેકનોલોજી ક્ષેત્રનું કેન્દ્ર બનાવતા બે મહત્વપૂર્ણ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મિશનના ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા. 12 અને 13 ડિસેમ્બરના રોજ ધ ફર્ન રિસોર્ટ ખાતે યોજાનાર આ સેમિનારોનો મુખ્ય હેતુ બાયોટેકનોલોજી ક્ષેત્રે જ્ઞાનનું આદાન-પ્રદાન, જાગૃતિ અને સહકાર વધારવાનો છે. આ કાર્યક્રમોમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો, સંશોધકો, કૃષિ-બાગાયત વિભાગના નિષ્ણાતો અને વન્યજીવન સંરક્ષણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ​12 ડિસેમ્બર: વન્યજીવન સંરક્ષણ અને વ્યવસ્થાપન​તા. 12મી ડિસેમ્બર, 2025ના રોજ પ્રથમ કાર્યક્રમ Harnessing Biotechnology for Wildlife Conservation Management વિષય પર આયોજિત થશે. આ સેમિનારમાં આધુનિક બાયોટેકનોલોજી સાધનોનો ઉપયોગ કરીને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ​નિષ્ણાતો બાયોટેકનોલોજી દ્વારા જિનેટિક વિવિધતાનું મૂલ્યાંકન, મૉલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ અને હેબિટેટ મેનેજમેન્ટ સંબંધિત નવીન અભિગમો રજૂ કરશે. આ ચર્ચાઓમાં જૈવવિવિધતા સંરક્ષણના પ્રયત્નોને કેવી રીતે વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવી શકાય તેના પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે, જે ગીરના જંગલ જેવા મહત્વપૂર્ણ વન્યજીવન વિસ્તારો ધરાવતા જુનાગઢ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ​13 ડિસેમ્બર: બાગાયત અને ફળ ઉત્પાદન ક્ષમતામાં વધારો ​તા. 13મી ડિસેમ્બર બીજો કાર્યક્રમ યોજાશે જેમાં Biotechnology for Horticulture Growth: Strengthening Fruit Productivity in Gujarat વિષયક હોર્ટીકલ્ચર કેન્દ્રિત યોજાશે. આ કાર્યક્રમ ખાસ કરીને ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે.આ સેમિનારમાં કેરી સહિતના ફળ પાકોની ઉત્પાદનક્ષમતા વધારવા, ગુણવત્તાવર્ધક કૃષિ તકનીકો અને બાયોટેક આધારિત નવીન ઉકેલો વિશે માર્ગદર્શન આપવામાં આવશે. મુખ્યત્વે કેરી અને નાળિયેર જેવા પાકોમાં થતા રોગો, તેના કારણો અને પાક પરના પ્રભાવની વિગતો રજૂ થશે. નિષ્ણાતો પાકના નુકસાનને ઘટાડવા માટેના જિનેટિક સુધારા દ્વારા ઉકેલો તેમજ યોગ્ય નિયંત્રણ પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવશે, જેથી ખેડૂતો પાકના નુકસાનને ઓછું કરીને કિંમતમાં વધારો કરી શકે. ​GSBTMની સહાયક યોજનાઓ અને અન્ય સંસ્થાઓ ​GSBTM ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આ તકે બાયોટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત GSBTMની અન્ય પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, GSBTM એ ગુજરાતમાં બાયોટેકનોલોજીના વિકાસ માટેની નોડલ ઓફિસ છે, જે સંશોધન સહાય, ઉદ્યોગો માટેની સહાય, અને માનવબળના વિકાસ માટે નાણાકીય સહિત વિવિધ પ્રકારની સહાય પૂરી પાડે છે. ​મિશન ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ (નેચરલ ફાર્મિંગ) માટે બાયોટેક દ્વારા નેટવર્ક રિસર્ચ કાર્યક્રમ હેઠળ રીસર્ચ સપોર્ટ સ્કીમ (RSS) મારફતે સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓને નાણાકીય સહાય આપીને નેચરલ ફાર્મિંગને સક્રિય રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે. આ ઉપરાંત, તેમણે યુવાઓને સંશોધિત ઉદ્યોગો સ્થાપવા માટેની નાણાકીય સહાય યોજનાઓનો લાભ લેવા માટે પણ અનુરોધ કર્યો હતો. ​તેમણે ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર (GBRC) વિશે માહિતી આપતાં જણાવ્યું કે આ સેન્ટર કેન્સર અને પ્રદૂષણ સહિત સમાજને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત છે. સાથે જ, ગાંધીનગર ખાતે કાર્યરત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિશ્વની પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે, જેનું યુનિવર્સિટી ઓફ એડિનબરા સાથે સહયોગ છે અને તેમાં PG તથા PhD માટેનો અભ્યાસક્રમ કાર્યરત છે. ​GSBTM દ્વારા આયોજિત આ બંને કાર્યક્રમો જૈવવિવિધતા સંરક્ષણ અને કૃષિ-બાગાયત વિકાસને નવા દિશાનિર્દેશ આપશે અને ગુજરાતને બાયોટેકનોલોજીના ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:32 pm

નળખંભામાં ગેરકાયદે કોલસાના 4 કૂવા ઝડપાયા:16.71 લાખનો મુદ્દામાલ જપ્ત, સરપંચ-તલાટી સામે પણ કાર્યવાહી

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. સર્વે નંબર 104 અને 151 વાળી જમીનમાં ગેરકાયદેસર કોલસાના ચાર કૂવાઓ પર કોલસાનું ખનન, સંગ્રહ, વહન અને વેચાણ થતું હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન, તંત્રએ કુલ રૂ. 16,71,000/- (સોળ લાખ એકોતેર હજાર) નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનો અને સાધનોમાં બે ટ્રેક્ટર, એક જનરેટર મશીન, બે કોમ્પ્રેસર મશીન, એક બાઇક, 30 નંગ નાઇટીંગ સુપર પાવર વિસ્ફોટક, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ અને ત્રણ ચરખીનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગેરકાયદેસર કોલસા ખનન કરતા આઠ ઇસમોની ઓળખ કરવામાં આવી છે. જેમાં ધીરુ કોળી, રામા કોળી, વિહા ઘીયડ, ગભરુ ઘીયડ, મનુ ઘીયડ, દીપ દરબાર (તમામ રહે. ખાખરાથળ, થાનગઢ), તેમજ હરેશ બારૈયા અને જગા બાવળીયા (બંને રહે. નાળીયરી રાણીપાટ, મુળી) નો સમાવેશ થાય છે. આ તમામ ઇસમો અને વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) હેઠળ કાર્યવાહી, તેમજ લેન્ડગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને જે વ્યક્તિઓના નામો સામે આવશે તેમની વિરુદ્ધ પણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, નળખંભા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:21 pm

ભૂસ્તર વિભાગે ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરી:ભરૂચમાં અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી બે દિવસમાં રૂ. 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ જિલ્લામાં ભૂસ્તર વિભાગે ગેરકાયદે ખનન અને વહન સામે સતત બે દિવસ કાર્યવાહી કરી કુલ રૂ. 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોડે અલગ-અલગ વિસ્તારોમાં અચાનક દરોડા પાડી બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ગત 10 ડિસેમ્બરે, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ફ્લાઈંગ સ્કવોર્ડ સુરત અને જિલ્લા કચેરી ભરૂચની સંકલિત ટીમે ઝઘડિયાના ફૂલવાડી વિસ્તારમાં સાદી માટીના ગેરકાયદે ખનન અને વહન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 1 એક્સીવેટર મશીન, 6 ટ્રક અને ડમ્પર સહિત કુલ રૂ. 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે 11 ડિસેમ્બરના રોજ, ભરૂચના શુકલતીર્થ વિસ્તારમાં નર્મદા નદી પરથી સાદી રેતીના બિનઅધિકૃત ખનન અને વહન કરતી પ્રવૃત્તિ પકડવામાં આવી હતી. અહીંથી 1 એક્સીવેટર મશીન અને 2 ડમ્પર સહિત કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. બે દિવસમાં કુલ રૂ. 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત થયા બાદ ભૂસ્તર વિભાગે નિયમ મુજબ આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગે છેલ્લા કેટલાક મહિનામાં અનેક વખત આકસ્મિક તપાસો ચલાવીને કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 8:09 pm

Editor's View: પાકિસ્તાનના 12 ટૂકડા થશે!:સેનાને સર્વેસર્વા બનાવવા ખતરનાક પ્લાન, મુનીર-શાબાઝની માઇન્ડ ગેમ, ભાગલાની મેલી મુરાદની ઇનસાઇડ કહાની

7 ડિસેમ્બર 2025ની રવિવારે પાકિસ્તાનના સંચાર મંત્રી અને IPP પાર્ટીના પ્રમુખ અબ્દુલ અલમ ખાને ફૈસલાબાદમાં એક જાહેરાત કરીને કહ્યું કે, પાકિસ્તાનમાં ચોક્કસપણે નાના-નાના પ્રાંતો બનાવવામાં આવશે. પાકિસ્તાની આર્મીની નજીકના ખાનનો આના પાછળ તર્ક એવો હતો કે પંજાબ અને સિંધ જેવા મોટા વિસ્તારોને ચલાવવા અઘરા છે માટે પાકિસ્તાનને 12 ભાગમાં વહેંચી નાખવામાં આવે તો સારી રીતે વહીવટ થાય. પણ શું ખરેખર આ વહીવટી નિર્ણય છે કે 4 પ્રાંતોના મુખ્યમંત્રીઓને કદ પ્રમાણે વેતરીને આર્મીને સર્વેસર્વા બનાવવાનું લશ્કરનું પ્લાનિંગ? આજે આપણે વાત કરીએ સરહદ પાર રમાઈ રહેલા મોટા જુગારની. નમસ્કાર.... 16 ડિસેમ્બર, 1971. આ તારીખ યાદ છે? આ એ દિવસ હતો જ્યારે ભારતીય સેનાના પરાક્રમે વિશ્વના નકશા પરથી 'પૂર્વ પાકિસ્તાન' નામ ભૂંસી નાખ્યું અને 'બાંગ્લાદેશ'નો જન્મ થયો, અને પાકિસ્તાનના બે ટુકડા થયા હતા. અગાઉ પણ નકશા પર કાતર ફરી પરંતુ….આજે 54 વર્ષ પછી, ઈસ્લામાબાદમાં ફરી એકવાર નકશા પર કાતર ફેરવવાની તૈયારી ચાલી રહી છે. પણ આ વખતે ટ્વિસ્ટ એ છે કે આ ભાગલા પાકિસ્તાન પોતે જ કરી રહ્યું છે અને સાંભળજો... આ વખતે ટુકડા બે નહીં, પણ પૂરા 12 કરવાની યોજના છે! થયું કંઈક એવું છે કે, પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી PML-Nના મંત્રી અહેસાન ઈકબાલ અને બીજા નેતાઓએ સંસદમાં એક પ્રસ્તાવ મૂક્યો છે કે પાકિસ્તાનના 4 પ્રાંત એટલે કે પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાહના ભાગ કરીને 12 રાજ્યો બનાવવામાં આવે. પાકિસ્તાન કેમ નાનાં રાજ્યો ઈચ્છે છે?આની પાછળ શાહબાઝ સરકારનો તર્ક છે કે 12 કરોડની વસ્તીવાળું પંજાબ એક રાજ્ય તરીકે સંભાળવું મુશ્કેલ છે. મોટા રાજ્યોની જગ્યાએ નાના રાજ્યો હોય તો વહીવટ સારી રીતે થઈ શકે. જો કે પડદા પાછળની રમત અલગ છે તેની આપણે આગળ વાત કરીશું. આ જાહેરાત થતાંની સાથે જ PPP પાર્ટીના બિલાવલ ભુટ્ટો ઝરદારી મોરચો માંડીને વિરોધમાં ઉતરી ગયા છે. બિલાવલે ખુલ્લી ચેતવણી આપી છે કે જો આ રીતે રાજ્યોના ટુકડા કરવામાં આવ્યા તો પરિણામો ભયાનક આવશે. જો કે તેમનું પણ આવું કહેવા પાછળનું રાજકીય અને આર્થિક કારણ જ છે. અને આ જ વિવાદે અત્યારે પાકિસ્તાનની સંસદથી લઈને સડકો સુધી ચર્ચાઓ જગાવી દીધી છે. 1955માં જ્યારે વન પાકિસ્તાન પ્લાન ફેલ થયોસૌથી પહેલા તો આપણે એ જાણવું જરૂરી છે કે શાહબાઝ સરકારને સપનું આવ્યું અને વિભાજન કરવાનો વિચાર આવ્યો એવું નથી. પાકિસ્તાનમાં અગાઉ પણ નવા રાજ્યોની માગણી થઈ ચૂકી છે. જો કે થયું નહીં એ વાત અલગ છે. વાત છે 1955ની. ભારત અને પાકિસ્તાન નવા-નવા દેશ બન્યા હતા. હાલના બાંગ્લાદેશ અને ત્યારના પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓની સંખ્યા વધુ હતી. તેમના પ્રભાવને રોકવા અને પંજાબનો પાવર વધારવા માટે પશ્ચિમ પાકિસ્તાને એક થઈને લડવા માટે વન યુનિટ પ્લાન રજૂ કર્યો. ઈચ્છા હતી કે સિંધ, પંજાબ, બલોચ વગેરેની ઓળખ એક કરીને એક પાકિસ્તાન બને. જેમ સરદાર સાહેબે રજવાડાઓ ભેગા કર્યા હતા એમ. પણ પાકિસ્તાનના કમનસીબ કે આ વન યુનિટ પ્લાન નિષ્ફળ ગયો. પ્રાદેશિક અસ્મિતા દબાવવાને કારણે વિદ્રોહ થયો અને 1971માં પાકિસ્તાનના બે ભાગલા થયા. લશ્કરી સત્તા બચાવવા દેશના ભાગલાઆની પાછળની વાત સમજવા જેવી છે, ભારતે આઝાદી પછી ભાષા અને સંસ્કૃતિના આધારે રાજ્યો બનાવ્યા. ઉપરથી આ લોકશાહી પ્રક્રિયા હતી. જ્યારે પાકિસ્તાનમાં આ પ્રક્રિયા હાલ ઉપરથી લાદવામાં આવી રહી છે. ત્યાંની પ્રજા માગ નથી કરી રહી કે અમને અલગ રાજ્યો આપો પણ હાં! આર્મી જરૂરથી પોતાની સુવિધાને જોઈ રહી છે. 1955માં તેમણે બધાને ભેગા કર્યા હતા સરકારની સત્તા બચાવવા, આજે તેઓ બધાને તોડી રહ્યા છે લશ્કરની સત્તા બચાવવા. રીત બદલાઈ છે, મકસદ એ જ છે'કંટ્રોલ'. પાકિસ્તાનમાં કૂલ વસ્તીના 50 ટકા લોકો પંજાબમાં રહે છે. આર્મી અને વહીવટી તંત્રમાં પણ 80 ટકા પંજાબીઓ છે. પંજાબ રાજ્યનો પરિચય સામેની બાજુ સિંધ બિલાવલનો ગઢ અને તેમની PPP પાર્ટીની લાઈફલાઈન છે. જો સિંધના ટુકડા થાય અને કરાંચી અલગ રાજ્ય બને તો ભુટ્ટો પરિવારની રાજનીતિનો બલી ચઢે. માટે જ બિલાવલ માટે અત્યારે ડુ ઓર ડાઇની પરિસ્થિતિ છે. સિંધ રાજ્યનો પરિચય આને વંશીય સમીકરણોથી સમજીએ તો પાકિસ્તાનમાં પંજાબી, સિંધી, બલૂચી અને પશ્તુન એમ ચાર વંશ અથવા રેસ છે. પંજાબ અને સિંધની જેમ જ પાકિસ્તાનના બાકીના બે પ્રાંતોની સ્થિતિ પણ કપરી છે. વાત કરીએ ખૈબર પખ્તુનખ્વાની. ખૈબર પખ્તુનખ્વાહનો પરિચય આવી પરિસ્થિતિમાં 12 રાજ્ય બને તો સીધી લીટીની વાત છે કે આ ચારેય વિસ્તારમાં રહેલા લોકોની સાંસ્કૃતિક ઓળખ ભૂંસાશે. આ વાતને રાજકીય, આર્થિક અને ડિફેન્સના લેન્સથી પણ સમજીએ. સૌથી પહેલા પોલિટિકલ એંગલ. આ પ્રસ્તાવ પાછળ શાહબાઝ શરીફ અને આર્મી ચીફનું એક કોમન ગણિત છે. પાકિસ્તાનમાં અત્યારે 'ફેડરલિઝમ' મજબૂત છે. 18મા બંધારણીય સુધારા પછી રાજ્યો પાસે પૈસા અને પાવર બંને છે. આર્મી અને સરકારની માઈન્ડ ગેમડિફેન્સની દ્રષ્ટિએ આર્મીને 4 મોટા મુખ્યમંત્રીઓને કંટ્રોલ કરવા અઘરા છે. જેમ કે ખૈબર પખ્તુનખ્વાહમાં ઈમરાન ખાનનો માણસ મુખ્યમંત્રી છે અને સરકારને બરોબરની ભીંસમાં લઈ રહ્યો છે. આની જગ્યાએ જો 12 રાજ્યોના 12 નાના-નાના રાજ્યોના મુખ્યમંત્રી હોય તો તે શક્તિની દ્રષ્ટિએ નબળા બને અને ઈસ્લામાબાદ સામે હાથ મિલાવી કે ફેલાવીને ઉભા રહે અને રાવલપિંડીને(આર્મી) સલામ ઠોકે. અને રાવલપિંડી પાસે અત્યારે સૌથી મોટો ખતરો છે ઈમરાન ખાન. તેમની લોકપ્રિયતા ઓછી કરવા સેનાને પંજાબના ટુકડા કરવા અતિ જરૂરી છે. જો એવું થાય તો ઈમરાનની આખી પઠાણી વોટબેંક વહેંચાઈ જાય. વિભાજનના રૂપિયા ક્યાંથી આવશે?હવે આને ઈકોનોમિક એંગલથી જોઈએ. માની લો કે એક સંયુક્ત પરિવાર છે. બધા મળીને માંડ 50 હજાર રૂપિયાની કમાણી કરે છે. હવે ઘરમાં ઝઘડો થયો અને બધા પરિવાર અલગ પડ્યા. અત્યાર સુધી એક રસોડું હતું પણ હવે 12 રસોડાં થયાં. મતલબ શું? 12 ચૂલા, 12 ગેસના બાટલા અને 12 વખત દૂધ-શાકભાજીનો ખર્ચ. આનાથી પિક્ચર ક્લિયર થઈ ગયું કે એક તો ઓલરેડી પાકિસ્તાન IMF અને વિદેશ મુલાકાત દરમિયાન મળતી ખૈરાતના જોરે ચાલે છે. એવામાં 12 નવા રાજ્યો એટલે 12 નવા વિધાનસભા ભવનો, 12 નવાં સચિવાલયો, 12 નવી કોર્ટ, 12 નવા રાજ્યપાલ અને એમના બંગલા. આટલા બધા રૂપિયા આવશે ક્યાંથી એ જ મોટો પ્રશ્ન છે. આર્થિક દ્રષ્ટિએ તો આ પ્લાન આત્મહત્યા સમાન જ છે. સિંધની માગ અને બલોચ સાપ….અને હવે વાત કરીએ ડિફેન્સના એંગલની. આપણે એડિટર્સ વ્યૂમાં વાત કરી જ છે કે સિંધમાં આઝાદીની માગ વધી છે. બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાને પાળેલો સાપ તેને ડંખ મારે છે. જો આ રાજ્યો મજબૂત થશે તો ભવિષ્યમાં પાકિસ્તાનના ટુકડા થઈ શકે છે. માટે સરકાર જ મતલબ અહીં આર્મી પણ કાઢી શકાય... તે જ સામેથી એટલા નાના ટુકડા ટુકડા કરવા જઈ રહી છે કે કોઈ ક્યારેય સંગઠિત ન થઈ શકે અને સેના સામે લડી ન શકે. અંગ્રેજોવાળી ડિવાઈડ એન્ડ રૂલ નીતિ. અહીં એક ચીન એંગલ પણ છે, કઈ રીતે? ચીન અત્યારે પાકિસ્તાનમાં CPEC (China-Pakistan Economic Corridor) માં અબજો ડોલર રોકીને બેઠું છે. પણ બલૂચિસ્તાનમાં થતા હુમલા અને સિંધની રાજનીતિથી ચીન કંટાળી ગયું છે. ચીનની મંશા CPECના નામે પાકિસ્તાનના માલિક બનવાની છે, અને માલિકને હંમેશા નાના અને નબળા મેનેજર જ પસંદ આવે, જેથી કોઈ સામે અવાજ ન ઉઠાવી શકે. ચીનને પાકિસ્તાનની લોકશાહી કે રાજ્યોની ઓટોનોમીમાં જરાય રસ નથી. ચીનને જોઈએ છે 'સેન્ટ્રલાઈઝડ કંટ્રોલ'.જો 12 નાના રાજ્યો બને, તો ચીન સીધું તે જિલ્લા કે નાનકડા રાજ્યના વહીવટી તંત્રને ખરીદી શકે અથવા દબાવી શકે. તેમને કરાંચી કે લાહોરની મોટી સરકારો સાથે માથાકૂટ કરવી ન પડે. થ્રી ઈડિયટ્સમાં ડાયલોગ છે ને.... બોલ વો રહે હૈ, શબ્દ હમારે હૈ અહીં પણ એવું હોય શકે કે, “બોલ શરીફ કે હૈ સ્ક્રિપ્ટ તો બેઈજિંગ હી લીખ રહા હૈ…” અને છેલ્લે... નકશા પર પેન્સિલથી લીટીઓ દોરીને જમીન વહેંચવી સહેલી છે, પણ લોકોના મનમાં પડેલી તિરાડો પૂરવી અઘરી છે. પાકિસ્તાનની સમસ્યા એ નથી કે તેના રાજ્યો મોટા છે; સમસ્યા એ છે કે ત્યાં શાસકોની દાનત ખોરી છે. પાકિસ્તાનના 4 ટુકડા થાય કે 12 કે 50! જ્યાં સુધી દેશનો પાયો 'લોકશાહી' અને 'આર્થિક વિકાસ' પર નહીં, પણ 'ધર્મ' અને 'આર્મીના ડર' પર ટકેલો હશે, ત્યાં સુધી કોઈ પણ ગણિત કામ નહીં કરે. 1947માં ધર્મના નામે, 1971માં ભાષાના નામે અને હવે ભવિષ્યમાં કદાચ વહીવટના નામે પાકિસ્તાનનું વિભાજન થાય તો નવાઈ નહીં.... સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂઆવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 7:56 pm

cctv સામે આવ્યા:અક્ષરવાડી નજીક કાર ચાલકે મહિલા તથા યુવતીને અડફેટે લઈ ફરાર, મહિલાનું મોત

દેરાણી-જેઠાણી ઘરેથી રાત્રે વોકિંગ માટે નીકળ્યા હતા યુવતી ને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ગતરાત્રિના સમયે દેરાણી જેઠાણી વોકિંગ માટે પાણીની ટાંકી અક્ષરવાડી વાળા રોડ પર નીકળ્યા હોય એ દરમિયાન પૂર ઝડપે આવેલ એક કાર ચાલકે મહિલા તથા સ્કૂટર પર સવાર યુવતીને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઠારના ચાલકે મહિલાને ઉડાડતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા, આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના કાળિયાબીડમાં આવેલ સાગવાડી સ્થિત રામેશ્વર મહાદેવના મંદિરમાં રહેતા અને સેવા પૂજા કરતા સાધુ ધર્મેશ્વરી ભીમપુરી ગોસ્વામીના પત્ની સોનલબેન તથા સોનલબેનની જેઠાણી મીનાબેન અશ્વિનભાઈ ગૌસ્વામી ગતરાત્રિના સમયે તેના ઘરેથી વોકિંગ માટે નીકળ્યા હતા. આ દેરાણી જેઠાણી પાણીની ટાંકીથી અક્ષરવાડી વાળા રોડ પર વોકિંગ કરતા જઈ રહ્યા હતા, ત્યારે દેરાણી જેઠાણી પાછળ આવી રહેલ કાર્ડ નંબર GJ 14 BJ 0058 ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બે ફિકરાય પૂર્વક ચલાવી ચાલતા જઈ રહેલ દેરાણી જેઠાણી પૈકી સોનલબેનને અડફેટે લઈ આગળ ઈ-સ્કૂટર પર જઈ રહેલ ઉમેદાની બિલાલ શેખ નામની યુવતીને પણ અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, આ અકસ્માતમાં સ્કૂટર સવારે યુવતી તથા સોનલબેન ને નાની મોટી ગંભીર ઈજા સાથે સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સોનલબેન ધર્મેશ પરી ગોસ્વામી ઉં.વ.38 નું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે યુવતીને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. આ બનાવને લઈને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ કારચાલક વિરુદ્ધ જેઠાણી મીનાબેન અશ્વિનભાઈ ગોસ્વામી રહે.પ્લોટ નંબર 1700/એ કાળીયાબીડ સાગવાડી વાળા મહિલાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 7:51 pm

SG હાઇવે-SP રીંગરોડ પર બીયુ-ફાયર સેફ્ટી વિનાના ફૂડ કોર્ટ સીલ:મોટાભાગના ફૂડ કોર્ટ લાકડા અને શેડ બનાવીને ઊભા કરી દેવાયા'તા

અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. મોટાભાગના ફૂડ કોર્ટમાં લાકડા અને શેડ બનાવીને ફૂડ કોર્ટ ઊભા કરી દેવામાં આવે છે કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવામાં આવતા નથી જેના પગલે આવા ફૂડ કોર્ટને સીલ કરવામાં આવી રહ્યા છે. બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટ સીલરાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી. પરંતુ ફરી એકવાર 50થી વધારે લોકો જાય એક સાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા એસજી હાઇવે અને ગોતા વિસ્તારમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના ફૂડ કોર્ટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા 6 ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યા છે. આગામી દિવસમાં શહેરના તમામ વિસ્તારોમાં આવા ફૂડ કોર્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટને 25 હજારને દંડથલતેજ અને બોડકદેવ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સૌમ્ય અને રશ્મિ આઇકોન નામની ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટ દ્વારા પર્યાવરણની જાળવણી અંગેના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રીન નેટ કે સેફ્ટી નેટ લગાવવામાં આવી નથી. જેના પગલે ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટને 25000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 7:41 pm

ભરૂચના કલાકાર યુસુફ હુસેન આંતરરાષ્ટ્રીય મંચ પર:અલ્જીરિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી કલા-સંસ્કૃતિને નવી ઓળખ આપી

અલ્જીરિયામાં તા.26 થી 30 નવેમ્બર–2025 દરમિયાન ‘અલ્જીરિયા મિનિસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચર’ ના બેનર હેઠળ યોજાયેલ Telemcen International Art Festival 2025 માં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવાનો સન્માન ઇન્ડિયા કલ્ચર ટુ આર્ટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને ગુજરાત–ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર ગોરી યુસુફ હુસેનજીને મળ્યો હતો. ભારતના સંસ્કૃતિક દૂત બની યુસુફે માત્ર પોતાની કૃતિઓ રજૂ કરી નહીં, પરંતુ ભારત–અલ્જીરિયા વચ્ચે ભવિષ્યમાં સંયુક્ત કલાપ્રદર્શનો યોજાય તેવા મહત્વપૂર્ણ માર્ગો પણ પ્રસ્તાવ્યા હતા. બે દેશોના કલાકારો જ્યારે એક જ મંચ પર મળે છે ત્યારે જે અનોખું સંસ્કૃતિ–સેતુ સર્જાય તે ‘કલાતીર્થ’થી ઓછું નથી. યુસુફના જણાવ્યા મુજબ “બાળકોના હાથમાં બ્રશ, કલમ અને રંગ આપવાના છે જેથી તેઓ કલા મારફતે વિશ્વને શાંતિનો સાચો સંદેશ આપી શકે. આ વિશ્વની જાળવણી અને કેળવણી કરવા માટે કલા અને સંસ્કૃતિનું સ્થાન અનન્ય છે”. આ મહોત્સવમાં ભારત સહિત વિશ્વના 20થી વધુ દેશોના કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના દેશોની સંસ્કૃતિને નવી ઊંચાઈ આપી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 7:30 pm

આરોપી આચાર્ય અને શિક્ષકની નકલી સહી કરી ઠગાઈ કરતો હતો:રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયના સિનિયર સેક્રેટરી આસીટન્ટએ 23.83 લાખની કરી ઉચાપત, આરોપીને 3 દિવસ રિમાન્ડ પર લઇ તપાસ હાથ ધરી

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ કેન્દ્રીય વિદ્યાલયના સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકની બોગસ સહીઓ કરી રૂ.23.83 લાખની છેતરપીંડી આચરતાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસે આરોપી દેવેન્દ્ર ગણાત્રાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પ્રિન્સિપાલ ગંગારામ મીણાએ નોંધાવી ફરિયાદ રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ ગંગારામ મીણા (ઉ.વ.47)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય વિદ્યાલયમાં તેઓની સાથે સીનીયર સેક્રેટરીયટ આસીસ્ટન્ટ (એસ.એસ.એ.) તરીકે દેવેન્દ્ર ગણાત્રા ફરજ બજાવે છે. તેઓના ત્રણ બેંક એકાઉન્ટ આવેલ છે તે તમામ ખાતાઓમાંથી નાણાકીય વ્યવહારો કરવા માટે તેઓ તેમજ કેન્દ્રીય વિદ્યાલાયમા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ઇંગ્લીશ) તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ પરમારની સાથે સહીઓ થતી હોય અને બાદમાં દેવેન્દ્ર ગણાત્રા તમામ નાણાકીય વ્યવહારો કરતા હોય છે તેમજ શાળામા એક ચેક ઇસ્યુ રજીસ્ટર પણ નીભાવવામા આવે છે જે રજીસ્ટરમાં તેઓની તેમજ જેને ચેક બનાવેલ હોય તેની સહીઓ તેમજ તે રજીસ્ટરમા ચેક નંબર, તારીખ, રકમ, બેંકનુ નામ, જેને ચેક આપેલ છે તે પાર્ટીનું નામ, ચેક આપવાનો હેતુ, કયા વિભાગમાં ખર્ચ કરેલ છે તે તથા ચેક પોસ્ટમાં મોકલેલ હોય તેની વિગત તથા સહીઓ તથા રીમાર્ક વાળા કોલમનુ બનાવેલ છે અને આ રજીસ્ટર નીભાવવાનુ કામ પણ દેવેન્દ્ર ગણાત્રાનુ છે. જે ચેક આપીએ તે ચેકમા એક કરતા વધુ લોકોને પૈસા ટ્રાન્સફર કરવાના હોય તેવા કિસ્સામા બેંકને સેલ્ફ નામથી ચેક આપી અને તમામ લોકોની કુલ રકમનો ચેક લખી અને સાથે બેંકીંગ એડવાઇઝ સ્લીપ જેમા જે જે લોકોને પૈસા આપવાના હોય તેમના ખાતા નંબર, નામ વગેરે વિગત સાથે તેમજ સ્લીપમાં પણ તેઓની સહીઓ તથા શાળાનો સ્ટેમ્પ લગાવીને આપવામાં આવે છે. તે ચેક જમા કરવા પણ દેવેન્દ્ર ગણાત્રા જતા હોય છે. તેઓની રીઝનલ ઓફીસ અમદાવાદથી ગત તા.21ના ફોન કે, તમારા બેંક ખાતામા મોટા પ્રમાણમા પૈસાની ટ્રાન્સફર થાય છે તે અંગે ચેક કરવાનુ કહેતા દેવેન્દ્ર ગણાત્રાને પુછતા તેઓએ લેખીતમાં એક પત્રમા જણાવ્યું કે, તેણે પોર્ટેબલ સીએનએફ કન્સલ્ટન્સીને ઓક્ટોમ્બર 2025મા પૈસા ટ્રાન્સફર કર્યા છે. ત્યારબાદ જણાવ્યું કે, આ ટ્રાન્જેક્શન બેંકની ભુલના કારણે થયેલ છે અને તે અંગે બેંકના સ્ટેમ્પ વાળો લેટર વોટસઅપમાં મોકલ્યો હતો. જેથી કાલાવડ રોડ પર આવેલ યુનીયન બેંક ખાતે ખરાઈ કરવા પત્ર લખતા લેખીતમાં જણાવ્યું કે, ટ્રાન્ઝેક્શન ડીટેલ્સ ખોટી હોવાનુ તેમજ બેન્કની અધિકૃત નકલ ન હોવાનુ જણાવ્યું હતું. ત્યારબાદ ચેક ઇસ્યુ રજીસ્ટર તથા બેંક ખાતાના સ્ટેટમેન્ટ જોતા જાણવા મળ્યું કે,પોર્ટેબલ સીએનએફ કન્સલ્ટન્સી નામની પેઢીને શાળાએ કોઈ કામ કરાવ્યું ન હતું, કોઈ ટેન્ડર કે વર્ક ઓર્ડર આપ્યો ન હતો. જયારે દેવેન્દ્રના બેંક ખાતામા રૂ.11,83,839 ટ્રાન્સફર થયા હોય જે બાબતે શાળાના વિદ્યાલય પ્રબંધન કમીટીના અધ્યક્ષ કલેક્ટર હોવાથી તેમને જાણ કરવામાં આવી હતી. શાળાના બેંક ખાતામાથી તેમજ ઇસ્યુ કરેલ ચેકની નકલો તેમજ સાથે આપવામા આવતી બેંક એડવાઇઝરી સ્લીપ (બેનીફીશયરી)નુ લીસ્ટ મંગાવતા તેને ચેક ઇસ્યુ રજીસ્ટર સાથે સરખાવતા ચેકમા છેડછાડ તેમજ બેંક એડવાઇઝરી સ્લીપ (બેનીફીશયરી) ફરીયાદીની તેમજ ગૌતમભાઈ પરમારની ખોટી સહીઓ કરી અને રૂ.23.83 લાખ ટ્રાન્સફર કર્યા અંગેનુ ધ્યાન પર આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા વધુ રકમની ઉચાપત કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 7:19 pm

મહાનગરપાલિકાનું છેલ્લું અલ્ટીમેટમ:ગાંધીનગરમાં 31 કન્સ્ટ્રક્શન સાઇટની ડેવલપમેન્ટ પરમિશન રદ થશે, માલિકોને અંતિમ નોટિસો ફટકારી

ગાંધીનગર શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ અને ઊંચા AQIના સ્તરને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ બાંધકામ સાઇટ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરવા બદલ દંડ કરાયેલી 31 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટના માલિકોએ દંડની રકમ ભરપાઇ ન કરતાં હવે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તેમની વિકાસ પરવાનગી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાએ બાંધકામ સાઇટ પર કડક કાર્યવાહી શરૂ કરીગાંધીનગર શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ અને ઊંચા AQIના સ્તરને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ બાંધકામ સાઇટ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ કે સેફ્ટી નેટ લગાવવાના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી માટે મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ શાખાએ દરેક સાઇટ દીઠ 25 હજારનો દંડ ફટકાર્યોઆ તપાસમાં કુલ 52 કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમોનો ભંગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. જેના પગલે નિયમોનું પાલન ન કરવા બદલ ટાઉન પ્લાનિંગ શાખાએ દરેક સાઇટ દીઠ 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કાર્યવાહી બાદ અત્યાર સુધીમાં 21 સાઇટના માલિકોએ દંડની રકમ ભરપાઈ કરી દીધી છે, પરંતુ બાકીની 31 સાઇટના માલિકોએ હજી સુધી દંડ ભર્યો નથી. 31 બાકીદાર સાઇટ માલિકોને અંતિમ નોટિસ પાઠવીજેના પગલે ટાઉન પ્લાનિંગ શાખાએ આ 31 બાકીદાર સાઇટ માલિકોને અંતિમ નોટિસ પાઠવી છે. તેમને દંડની રકમ એક દિવસમાં જમા કરાવવાની તાકીદ કરવામાં આવી છે. જો આ સમયગાળામાં દંડ ભરપાઇ નહીં થાય તો તેમની વિકાસ પરવાનગી સ્થગિત કરવા સહિતના આકરા પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 7:18 pm

હિંમતનગરમાં મધ્યઝોનની ખો-ખો સ્પર્ધા શરૂ:ખેલ મહાકુંભ 2025 અંતર્ગત અંડર-17 બહેનોની સ્પર્ધાનો પ્રારંભ, 9 ટીમો ભાગ લેશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ભોલેશ્વર રમતગમત સંકુલ ખાતે મધ્યઝોનની ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ થયો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌધરી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણીબેન સરવૈયા સહિત રમતગમત વિભાગના કોચ અને ટીમો ઉપસ્થિત રહી હતી. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આ સ્પર્ધા યોજાઈ રહી છે. 11 થી 17 ડિસેમ્બર દરમિયાન ચાલનારી આ સ્પર્ધામાં અંડર-17, અંડર-14 અને ઓપન એજ ગ્રુપમાં ભાઈઓ અને બહેનોની ખો-ખો મેચો રમાશે. ગુરુવારે રમતગમત સંકુલ ખાતે ખો-ખો (બહેનો) અંડર-17 સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. આ મધ્યઝોન ખો-ખો સ્પર્ધામાં કુલ 9 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં અમદાવાદ સિટી, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર સિટી, ગાંધીનગર ગ્રામ્ય, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાની બહેનોની ટીમોનો સમાવેશ થાય છે. સ્પર્ધાના પ્રારંભે હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરીએ શ્રીફળ વધેરી ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ પ્રથમ ખો-ખો મેચમાં અરવલ્લી અને ગાંધીનગર ગ્રામ્યની ટીમોનો પરિચય કરાવી ટોસ કરવામાં આવ્યો હતો. બીજા મેદાન પર મહેસાણા અને પાટણ જિલ્લાની ટીમોનો પરિચય કરાવી ટોસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને મેદાન પર ખો-ખોની મેચો શરૂ થઈ હતી. આજે લીગ મેચો રમાયા બાદ આવતીકાલે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચો યોજાશે. આ સ્પર્ધામાં વિજેતા બનનારી પ્રથમ અને દ્વિતીય ટીમ રાજ્યકક્ષાએ રમવા માટે ક્વોલિફાય થશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 7:13 pm

ટ્રેનમાં ત્યજી દેવાયેલી બાળકીના કેસનો ભેદ ઉકેલાયો:સગીરા સહિત ત્રણ લોકોને પોલીસે ઝડપી લીધા, રેલવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

વલસાડ રેલવે સ્ટેશન પર 8મી તારીખની રાત્રે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. ચાલુ ટ્રેનના ટોયલેટમાં ત્યજી દેવાયેલી બાળકી મળતા રેલવે પોલીસ સક્રિય બની હતી. પોલીસે બાળકીને ત્યજી દેનારની શોધખોળ શરૂ કરી હતી. આખરે, રેલવે પોલીસને ગણતરીના સમયમાં જ આ કેસ ઉકેલવામાં સફળતા મળી છે. આ મામલે પોલીસે એક સગીરા, તેના પિતા અને બે માસીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલી સગીરાએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. સગીરાના માતા-પિતા અને માસીઓએ બાળકીને ત્યજી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ યોજના મુજબ, તેઓ વલસાડ રેલવે સ્ટેશન પર વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાં નવજાત બાળકીને ત્યજીને ત્યાંથી નીકળી ગયા હતા. આરોપીઓ સુધી પહોંચવા માટે વલસાડ રેલવે પોલીસે વલસાડ રેલવે સ્ટેશન તેમજ આસપાસના અન્ય રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વલસાડ રેલવે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 7:10 pm

બાપુનગરમાં 3.47 લાખના ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા:ઘરમાં જથ્થો રાખીને ગાંજો વેચતા હતા, SOGએ 4.90 લાખની રોકડ જપ્ત કરી

અમદાવાદ SOGની ટીમે બાપુનગરમાંથી ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો છે. SOGએ બાપુનગરમાં એક મકાનમાં રેડ કરીને 3.47 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ ગાંજાનો વેચાણ કરતા બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ડ્રગ્સ માફિયા વોન્ટેડ છે અને તેની પત્ની પોલીસ સંકજામાં આવી ગઈ છે. 6 કિલો ગાંજા સાથે 4.90 લાખ જપ્ત6 કિલો 950 ગ્રામ ગાંજાના જથ્થા સહિત 4.90 લાખની રોકડ પણ SOGને મકાનમાંથી મળી આવી છે જે પણ જપ્ત કરવામાં આવી છે. સોનીબાનું, રફીક શેખ અને સગુફાબાનુંની SOG એ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અબ્દુલ પોતાના ઘરમાં ગાંજાનું વેચાણ કરતોSOGની ટીમને બાતમી મળી હતી કે અબ્દુલ કાદીર ઉર્ફે બાપુ પઠાણ પોતાના ઘરેથી ગાંજાનો ધંધો કરે છે. અબ્દુલ કાદર સાથે ધંધામાં તેની પત્નિ તેમજ મળતીયાઓ પણ મદદ કરી રહ્યા હોવાની SOGને બાતમી મળી હતી. અબ્દુલ પોતાના ઘરમાં બહારથી ગાંજો લાવીને વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘરમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યોબાપુનગરમાં ભવાની ચોકમાં સોનીબાનુંના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી રફીક શેખ, સોનીબાનુ, સગુફાબાનુની મળી આવ્યા હતા. સોનીબાનુ અબ્દુલ કાદરની પત્ની છે અને તે બાપુનગરના ભવાની ચોકમાં રહે છે. SOGની ટીમે અબ્દુલ કાદરના ઘરની તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ચાર વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલSOGએ અબ્દુલ કાદર ક્યા છે તે મામલે પુછપરછ કરતા સોનીબાનુએ જણાવ્યુ હતું કે તે બહાર ગયો છે. SOGએ જપ્ત કરેલો ગાંજાના પરિક્ષણ માટે FSLની ટીમને બોલાવી હતી. FSLની ટીમ ઘટના સ્થળે આવીને વનસ્પતિનું પરિક્ષણ કર્યુ હતું જેમાં તે ગાંજો હોવાનું પુરવાર થયું હતું. SOGએ રફીક શેખ, સોનીબાનુ અને સગુફાબાનુની ધરપકડ કરી હતી. જ્યારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઘરમાં CCTV કેમેરા લાગેલા હતાઅબ્દુલ કાદિર ઘરમાંથી SOGએ 3.47 લાખ રૂપિયાનો 6 કિલો અને 950 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. આ સિવાય અબ્દુલ કાદિર પોતાના ઘરમાં CCTV કેમેરા પણ લગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેનુ ડીવીઆર પણ SOGએ જપ્ત કર્યુ છે. SOGએ અબ્દુલ કાદરના ઘરમાંથી 4.90 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 7:03 pm

વાત્રક કેનાલમાં દરવાજાના અભાવે ખેતરોમાં પાણી ભરાયા:ગાબટમાં 10 વીઘા ઘઉંનો પાક નિષ્ફળ, ખેડૂતને મોટું નુકસાન

અરવલ્લી જિલ્લાના ગાબટ ગામમાં વાત્રક જળાશયની ડાબા કાંઠાની માઇનોર-3 કેનાલમાં દરવાજાના અભાવે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આ ઘટનાને કારણે ખેડૂત જીતેન્દ્ર સુથારના 10 વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. હાલમાં અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર કર્યું છે, જેમાં ઘઉંનું વિશેષ વાવેતર કરવામાં આવ્યું છે. સિંચાઈ માટે ડેમોમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સાઠંબા નજીક ગાબટ ખાતે આવેલી માઇનોર-3 કેનાલમાં દરવાજા ન હોવાને કારણે પાણી ખેતરોમાં ઘૂસી ગયું હતું. પાણી ભરાવાને કારણે ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂત જીતેન્દ્ર સુથારે જણાવ્યું હતું કે તેમણે 10 વીઘા જમીનમાં મોંઘા ભાવનું બિયારણ લાવીને ઘઉંનું વાવેતર કર્યું હતું. પરંતુ કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા તેમનો આખો પાક નાશ પામ્યો છે. સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે તેમને મોટું નુકસાન થયું છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:57 pm

વાપીમાં ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ લાગી:અફરાતફરી મચી, દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં

વલસાડ જિલ્લાના વાપીમાં ખુલ્લા પ્લોટમાં મુકેલા ભંગારમાં ભીષણ આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી ગઈ છે. આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. અમે આ સમાચારને અપડેટ કરી રહ્યા છીએ....

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:52 pm

જામનગરમાં ધોળા દિવસે છરીના ઘાં ઝીંકી યુવકની હત્યા કરનાર ઝડપાયો:છરી અને સ્કૂટર કબજે, આરોપીના રિમાન્ડની કાર્યવાહી શરૂ

જામનગરમાં દલિત યુવાન જીતેન્દ્ર ઉર્ફે જયલો ચાવડાની હત્યાના કેસમાં પોલીસે તેના આરોપી દિલીપ રમેશભાઈ ચાવડાની ધરપકડ કરી છે. આરોપીએ જીતેન્દ્ર પર છરીના ચાર ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી છરી અને સ્કૂટર પણ કબજે કર્યા છે. આ ઘટના ગઈકાલે સવારે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં દિગ્વિજય પ્લોટ, શેરી નંબર 49 ના છેડે બની હતી. 28 વર્ષીય જીતેન્દ્ર ચાવડા પોતાના એક્ટિવા સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે દિલીપે તેને રસ્તામાં રોકી હુમલો કર્યો હતો. પોલીસ તપાસ અનુસાર, આ હત્યા પાછળનું કારણ આઠ મહિના પહેલા જીતેન્દ્ર દ્વારા દિલીપની પત્નીને ભગાડી જવાનું મનદુઃખ હતું. આ બાબતને લઈને દિલીપે જીતેન્દ્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક જીતેન્દ્રના પિતા જગદીશભાઈ ચાવડાની ફરિયાદના આધારે પોલીસે આરોપી દિલીપ ચાવડા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને અટકાયતમાં લીધો છે. પોલીસે આરોપીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ પત્ની સાથેના સંબંધ મામલે ભાઈએ ભાઈને રહેંસી નાખ્યો જામનગરમાં ધોળે દિવસે યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. પત્ની સાથે થયેલા છૂટાછેડા અને બાદમાં પત્નીના અન્ય જગ્યાએ લગ્નને લઈને સગા મામા-ફોઇના ભાઈઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. દિલીપ ચૌહાણને તેની પત્ની સાથે છૂટાછેટા થયા હતા, જે બાદ તેની પત્નીએ જયેશ ચાવડા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. એ વાત દિલીપને મંજૂર ન હોવાથી દિલીપે છરીના ઘા ઝીંકીને જયેશનું ઢીમ ઢાળી દીધું છે. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:44 pm

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી:PM મોદીને પત્ર લખ્યો અને જૂનાગઢના પોલીસને અરજી આપી, ફિલ્મ પર પ્રતિબંધની માગ સાથે રોષ વ્યક્ત કર્યો

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે. આજે, 11મી ડિસેમ્બર 2025ના રોજ, જૂનાગઢ ખાતે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકોએ ઉપસ્થિત રહીને મામલતદાર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવીને આ ફિલ્મના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની અને વાંધાજનક ડાયલોગ દૂર કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી. આ ફિલ્મના નિર્માતા જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી મુખ્ય ભૂમિકાઓમાં છે. 'મગરમચ્છ પે ભરોસા કર શકતે હે બલોચ પર નહીં'ના ડાયલોગને લઈ વિવાદબલોચ મકરાણી સમાજ દ્વારા વડાપ્રધાનને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, 5મી ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી 'ધુરંધર' ફિલ્મમાં પાકિસ્તાની પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા સંજય દત્ત દ્વારા એક ડાયલોગ બોલાય છે: મગરમચ્છ પે ભરોસા કર શકતે હે બલોચ પર નહીં. સમાજનો આક્ષેપ છે કે આ ડાયલોગથી તેમની સમગ્ર કોમ્યુનિટીનીને માનહાની થઈ છે અને સમાજ દગાખોર, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોય તેવું ચિત્રિત કરવામાં આવ્યું છે. આ પણ વાંચો: 'ધુરંધર' ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઊઠી, જૂનાગઢનો બલોચ સમાજ આકરાપાણીએ માત્ર પૈસા કમાવવાના હેતુથી ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવીઆવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, બલોચ કોમ્યુનિટી ઇતિહાસમાં હંમેશા બહાદુર, પ્રામાણિક અને વફાદાર રહી છે. તેમણે મૈસુરના રાજા ટીપુ સુલ્તાન (હૈદરઅલી બલોચ)નું ઉદાહરણ આપીને જણાવ્યું કે, તેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે પ્રથમ લડાઈ લડનાર હતા. આ ઉપરાંત, સમગ્ર ગુજરાતમાં વસતા બલોચ મકરાણી સમાજ આજે પણ પાકિસ્તાન સરકાર સામે સ્વતંત્રતા માટે લડતા બલુચિસ્તાનના બલોચોને પરોક્ષ સમર્થન આપી રહ્યું છે અને હંમેશા ભારત સરકારને વફાદાર રહ્યું છે. તેમ છતાં, ફિલ્મે માત્ર પૈસા કમાવવાના હેતુથી ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ બનાવીને અપમાનિત કરી છે, જે અયોગ્ય છે. આવેદનપત્રની નકલો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પણ મોકલવામાં આવી છે. ગઈકાલે પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ હતીગઈકાલે જૂનાગઢ બલોચ મકરાણી સમાજ દ્વારા પોલીસ કાર્યવાહીની માગ સાથે અરજી પણ આપવામાં આવી હતી. જૂનાગઢના એડવોકેટ અને બલોચ સમાજના પ્રમુખ એજાઝ મોહમ્મદ હનીફ મકરાણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ 'ધુરંધર'ના અભિનેતા સંજય દત્ત, ડાયલોગ રાઇટર અને ફિલ્મના ડાયરેક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. અભદ્ર ડાયલોગથી બલોચ મકરાણી સમાજની લાગણી દુભાઈપ્રમુખ એજાઝ મકરાણીએ આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મના આ અભદ્ર ડાયલોગથી બલોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ છે અને આવા ડાયલોગના કારણે અન્ય સમાજો અમારી જ્ઞાતિને શંકાની નજરે જોતા થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આવા અભિનેતાઓ, ડાયરેક્ટરો કે સ્ક્રીપ્ટ બનાવનાર શખસોને રોકવામાં નહીં આવે, તો દરેક સમાજની લાગણી દુભાવવાનું અને અભદ્ર વર્તન ચાલુ જ રહેશે, જેના કારણે સમાજ-સમાજ વચ્ચે તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે. નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં જ 25,000થી વધુ બલોચ મકરાણીની વસ્તી છે, અને સમગ્ર ગુજરાતમાં આ સમાજની વસ્તી 8 લાખથી વધુ છે. આ મોટા સમાજ દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆતોને કારણે હવે ફિલ્મ ઉદ્યોગ અને સેન્સર બોર્ડ દ્વારા કેવા પગલાં લેવાય છે તેના પર સૌની છે. ફિલ્મમાં શું બતાવ્યું છે?ફિલ્મની સ્ટોરી 1999માં થયેલા IC-814 વિમાન અપહરણ અને 2001ના ભારતીય સંસદ હુમલાની પૃષ્ઠભૂમિથી પ્રેરિત છે. સ્ટોરીની શરૂઆત ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ અજય સાન્યાલ (આર માધવન)થી થાય છે, જે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ અને અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવાની યોજના બનાવે છે. આ માટે તેમને એક એવા યુવકની જરૂર હોય છે, જેની કોઈ ઓળખ ન હોય અને જે કોઈ ગુનામાં ફસાયેલો હોય. તેમની શોધ પંજાબના 20 વર્ષના હમઝા (રણવીર સિંહ) સુધી પહોંચે છે, જે જેલમાં બંધ છે. હમઝાને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે. પાકિસ્તાનમાં હમઝાનો સામનો લ્યારીના ખતરનાક અંડરવર્લ્ડ સાથે થાય છે, જ્યાં તેને ગેંગસ્ટર રહેમાન ડાકુ (અક્ષય ખન્ના) અને કરાચીના એસપી ચૌધરી અસલમ (સંજય દત્ત) જેવા ખતરનાક લોકો સાથે કામ પાર પાડવું પડે છે. ફિલ્મનો પહેલો ભાગ ગેંગસ્ટર દુનિયા, અપરાધ અને હિંસા દર્શાવે છે, જ્યારે ફિલ્મનો બીજો ભાગ જાસૂસી, છેતરપિંડી અને ષડયંત્રથી ભરેલો છે. સ્ટોરી દર્શકોને અંત સુધી ઉત્સુક રાખે છે કે શું હમઝા તેના મિશનમાં સફળ થાય છે અને કેવી રીતે તે અંડરવર્લ્ડનો સફાયો કરે છે. કોણ છે બલોચ?બલૂચિસ્તાનના કલાત રજવાડાના છેલ્લા શાસક મીર અહેમદ યાર ખાને તેમના પુસ્તક 'ઇનસાઇડ બલૂચિસ્તાન'માં લખ્યું છે કે બલોચ પોતાને પયગંબર ઇબ્રાહિમના વંશજ માને છે. તેઓ સિરિયાના વિસ્તારમાં રહેતા હતા. વરસાદના અભાવ અને દુષ્કાળને કારણે આ લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. સિરિયા છોડ્યા પછી આ લોકોએ ઈરાનના પ્રદેશમાં પડાવ નાખ્યો. તત્કાલીન ઈરાની રાજા નુશેરવાનને આ ગમ્યું નહીં અને તેમણે આ લોકોને અહીંથી ભગાડી દીધા. આ પછી આ લોકો એ વિસ્તારમાં પહોંચ્યા, જેનું નામ પાછળથી બલૂચિસ્તાન રાખવામાં આવ્યું. જ્યારે બલોચે ઈરાન છોડ્યું ત્યારે તેમનો નેતા મીર ઇબ્રાહિમ હતા. જ્યારે તેઓ બલૂચિસ્તાન પહોંચ્યા ત્યારે તેમની જગ્યાએ મીર કમ્બર અલી ખાન આવ્યા. આ કુળને પયગંબર ઇબ્રાહિમના નામ પરથી બ્રાહીમી કહેવામાં આવતું હતું, જે પાછળથી બ્રાવી અથવા બ્રોહી બન્યું. બલોચે મુઘલોને હિન્દુ રાજવંશ હટાવવામાં મદદ કરીબલોચ લોકો આ વિસ્તારમાં સ્થાયી થયા. ઘણાં વર્ષો પછી જ્યારે મુઘલોએ ભારત પર શાસન કર્યું ત્યારે તેઓ બલોચ લોકોના સાથી બન્યા. આ દરમિયાન બલૂચિસ્તાનના કલાત વિસ્તારમાં સેવા (Sewa) વંશનું શાસન હતું, જેને હિન્દુ રાજવંશ માનવામાં આવે છે. આ રાજવંશના એક પ્રખ્યાત શાસક રાણી સેવી (Rani Sewi) હતાં, જેમના નામ પરથી પાછળથી સિબી પ્રદેશનું નામ પડ્યું. સેવા રાજવંશ મુખ્યત્વે કલાત અને એની આસપાસના વિસ્તારોમાં શાસન કરતો હતો અને એ સમયે આ રાજવંશ હિન્દુ પરંપરાઓનું પાલન કરતો હતો. ભારતના મુઘલ સમ્રાટ અકબરે 1570ના દાયકામાં બલૂચની મદદથી કલાત પર આક્રમણ કર્યું અને સેવા વંશ પાસેથી તેનું નિયંત્રણ છીનવી લીધું. 17મી સદીના મધ્યમાં મુઘલોનું શાસન નબળું પડવા લાગ્યું અને બલૂચ જાતિઓએ બળવો શરૂ કર્યો. મુઘલોએ 18મી સદી સુધી અહીં શાસન કર્યું, પરંતુ બલૂચો દ્વારા તેમને હાંકી કાઢવામાં આવ્યા. અહીંથી બલોચોએ કલાતમાં પોતાના રાજ્યનો પાયો નાખ્યો અને બલૂચિસ્તાનમાં બલોચોનું શાસન શરૂ થયું. ઇતિહાસકારોના મતેઇતિહાસકારો કહે છે કે બલૂચ લોકો સિરિયાના આરબો કરતાં ઈન્ડો-ઈરાનીઓની વધુ નજીક છે. ઈન્ડો-ઈરાની લોકોને આર્ય પણ કહેવામાં આવે છે. આ સંદર્ભમાં, ઇતિહાસકારો માને છે કે બલોચ પણ આર્ય છે. હજારો વર્ષ પહેલાં આર્યો મધ્ય એશિયામાં રહેતા હતા, પરંતુ ખરાબ વાતાવરણ અને યુદ્ધની સ્થિતિને કારણે તેઓ બીજી જગ્યાની શોધમાં આ સ્થળ છોડીને ગયા. ત્યાંથી નીકળ્યા પછી પહેલા આર્મેનિયા અને અઝરબૈજાન પહોંચ્યા. તેમણે અઝરબૈજાનના બ્લાસગાન પ્રદેશમાં રહેવાનું શરૂ કર્યું. અહીં આર્યોની ભાષા અને બોલીનું મિશ્રણ કરીને એક નવી ભાષા બનાવવામાં આવી, જેને બલશક અથવા બલાશોકી નામ આપવામાં આવ્યું. આર્યો બલાશ તરીકે ઓળખાવા લાગ્યા. ઈસ.550માં અઝરબૈજાન ઈરાનના ખામ સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ આવ્યું. સાસાની સામ્રાજ્યની સ્થાપના 224-651 ઈ.સ.માં થઈ હતી. છઠ્ઠી સદીના અંતમાં અને સાતમી સદીની શરૂઆતમાં, આ પ્રદેશ પર બાહ્ય હુમલાઓ વધ્યા અને હવામાન પણ વધુ ખરાબ થયું, તેથી મધ્ય એશિયાથી અહીં આવેલા આર્યો વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા. કેટલાક લોકો ઈરાનના જાનુબી (દક્ષિણ) બાજુ ગયા અને કેટલાક લોકો ઈરાનના મગરિબ (પશ્ચિમ) બાજુ ગયા. આર્યો જાનુબી તરફ ગયા અને ત્યાંથી આગળ ઈરાનના કમન અને સિસ્તાન પહોંચ્યા. અહીં તેમનું નામ બાલાશથી બદલીને બલૂચ કરવામાં આવ્યું અને બોલીનું નામ બલાશોકીથી બદલીને બલૂચી કરવામાં આવ્યું. ધીમે ધીમે આ બલૂચ લોકો સિસ્તાનથી આગળના વિસ્તારોમાં પ્રવેશ્યા. આ વિસ્તાર પાછળથી બલૂચિસ્તાન તરીકે ઓળખાતો હતો. બલૂચિસ્તાનની ભારત સાથે નિકટતાના આક્ષેપોભારત આઝાદ થયું અને તેના બે ભાગલા થયા ત્યારે બલૂચિસ્તાન પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા માગતું હતું, પણ ભૌગોલિક રીતે તે પાકિસ્તાન સાથે સંકળાયેલું હોવાથી તેને પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવ્યું હતું. બલૂચિસ્તાનની જે પઠાણ પ્રજા છે તે પાકિસ્તાનના પંજાબી શાસકો કરતાં અલગ જ સંસ્કૃતિ ધરાવે છે. પઠાણોને લાગે છે કે પાકિસ્તાની સરકાર તેમને કચડી નાંખીને તેમની સંસ્કૃતિ મિટાવી દેવા માગે છે. આ કારણે પરાક્રમી પઠાણ યોદ્ધાઓ દાયકાઓથી પાકિસ્તાનના લશ્કર સામે સશસ્ત્ર જંગ લડી રહ્યા છે. બલૂચિસ્તાનને પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત કરીને સ્વતંત્ર થવા તેમણે બલૂચિસ્તાન લિબરેશન આર્મી નામના ઉગ્રવાદી સંગઠન પણ છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે ભારતની ગુપ્તચર સંસ્થા ‘રો’ આ સંગઠનને મદદ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:41 pm

અમદાવાદના એસપી રિંગ રોડ પર 9 લાખની લૂંટ:આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ યુવક નીકળ્યો, અકસ્માતનું નાટક રચી બાઈકચાલકે બબાલ કરી; અન્ય સાગરીત બેગ લઈ રફુચક્કર

અમદાવાદ શહેરમાં અકસ્માત કર્યો હોવાનું નાટક રચી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. શહેરના એસપી રિંગ રોડ પર આંગડિયામાંથી રૂપિયા લઈ નીકળેલા યુવકને બાઈક પર હેલ્મેટ પહેરીને આવેલા એક વ્યક્તિએ ગાડી ચલાવતા આવડે છે કે નહીં, મને વાગ્યું છે, ગાડી ઊભી રાખો કહીને ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને અંદાજ આવી ગયો હતો કે, ગાડી ક્યાંય અડી નથી અને આ વ્યક્તિ વાગ્યું છે કહીને ગાડી ઊભી રખાવે છે. જોકે, ગાડીમાં રૂપિયા હોવાથી તેને ઊભી રાખવાના બદલે ગાડી ભગાડી દીધી હતી. જે બાદ બાઈકચાલકે ગાડીની આગળ બાઈક ઉભું રાખી ગાડીમાં સવાર યુવક સાથે બબાલ કરી હતી. જે બાદ અન્ય બાઇકચાલક આવીને 9.20 લાખ રૂપિયાથી ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બે અજાણ્યા શખસ સામે લૂંટની ફરિયાદશેલામાં આવેલા ક્લબ ઓ સેવનની પાસે સિદ્ધેશ્વર બંગલોઝમાં રહેતા ધ્રુવ ચૌહાણએ સરખેજ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખસ વિરૂદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે. ધ્રુવ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં સંયુક્ત પરિવારમાં રહે છે. ધ્રુવના પિતા દિલીપ ચૌહાણ સનાથળ ખાતે આવેલી જે.બી.કોમ્પ્લેક્ષમાં ગુરૂક્રુપા ટાયર્સ નામથી દુકાન ધરાવીને ધંધો કરે છે. થોડા દિવસ પહેલા દિલીપ ચૌહાણ પોતાના વતન સાયલા ગયા હોવાથી ધ્રુવ દુકાન પર બેસીને ધંધો કરતો હતો. જે દરમિયાન દિલીપ ચૌહાણનો દીકરા ધ્રુવ પર ફોન આવ્યો હતો. તેમને વી.પી. આંગડિયામાંથી ફોન આવશે એટલે ત્યાથી 9.20 લાખ રૂપિયા લેવા માટે કહ્યું હતું. જે બાદ વી.પી. આંગડિયા પેઢીમાં ફોન ધ્રુવ પર આવતા તે રૂપિયા લેવા માટે ગયો હતો. આગંડિયા પેઢીમાંથી 9.20 લાખ લઈને નીકળ્યા હતાધ્રુવ અને તેનો કૌટુબિક ભાઈ જય બન્ને કાર લઈને આંગડિયા પેઢીની ઓફિસમાં રૂપિયા લેવા માટે દુકાનથી નીકળ્યા હતા. આંગડિયા પેઢીના કર્મચારીએ ધ્રુવને 9.20 લાખ રૂપિયા આપી દીધા હતા. ધ્રુવે લેપટોપની બેગમાં 9.20 લાખ રૂપિયા મુકી દીધા હતા. જે બાદ દુકાન જવા માટે નીકળ્યા હતા. ધ્રુવ સાણંદ સર્કલથી નવા ટી.પી.રોડ થઈને એસ.પી.રિંગ રોડ પાસે આવ્યો હતો, ત્યારે એક બ્લેક કલરના બાઈક પર એક યુવક હેલમેટ પહેરીને આવ્યો હતો. બાઈક ચાલકે તરત જ ધ્રુવની પાસે આવીને કહ્યુ કે ગાડી જોઈને ચલાવો મને વાગ્યુ છે. બાઈક ચાલકે ધ્રુવની કાર સાઈડમાં ઉભી કરાવાનું કહ્યુ હતું. ધ્રુવને ખબર હતી કે તેની કાર ક્યાક અડી નથી અને રૂપિયા હોવાથી તેને કાર ઉભી રાખી નહીં. બાઈકચાલકે ગાળાગાળી કરી યુવક સાથે બબાલ કરીધ્રુવે બાઈક ચાલકથી બચવા માટે પોતાની કાર સર્વિસ રોડ પર લઈ લીધી હતી. બાઈક ચાલક પુર ઝડપે બાઈક ચલાવીને ધ્રુવની કારની આગળ ઉભુ કરી દીધુ હતું. જે બાદ બાઇક ચાલકે હેલ્મેટ ઉતારીને ધ્રુવ સાથે ગાળાગાળી કરતા બબાલ થઈ હતી. બંન્નેની બબાલ ચાલી રહી હતી ત્યારે બીજો એક બાઈક ચાલક આવ્યો અને ગાડીનો દરવાજો ખોલીને રૂપિયા ભરેલી લેપટોપની બેગ લઈને ફરાર થઈ ગયો હતો. રૂપિયાની બેગ લઈ લીધા બાદ બબાલ કરનાર બાઈક ચાલક પણ સમાધાન કરીને જતી રહ્યો હતો. ધ્રુવની ગાડીમાં બેગ ગાયબ થતા તે ગભરાઈ ગયો હતો અને સીધો તેના પિતાને ફોન કર્યો હતો. જે સરખેજ પોલીસે આ મામલે બે અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરીબાઈક ચાલક આંગડિયા પેઢીથી ધ્રુવનો પીછો કરતા હોવાનું અનુમાન છે. ધ્રુવની ગાડીમાં લાખો રૂપિયા પડ્યા છે તેની જાણ લૂંટારૂઓને થઈ ગઈ હતી. પોલીસે લૂંટનો ગુનો નોંધીને લૂંટારૂઓને ઝડપી લેવા માટે આંગડિયા પેઢીની આસપાસના તેમજ રૂટના સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આંગડિયા પેઢીની આસપાસ લૂંટારૂઓ પોતાનો અડ્ડો બનાવી દીધો છે અને રૂપિયા લઈને નીકળતા વેપારીઓ ઉપર નજર રાખીને બેસતા હોય છે. જેવા કોઈ વેપારી રૂપિયા લઈને નીકળે ત્યારે લૂંટારૂઓ તેનો શિકાર કરવા માટે જતા હોય છે. એક મહિના અગાઉ પણ 18 લાખની લૂંટની ઘટના બની હતીએક મહિના પહેલાં શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં વેપારી આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત કરવાના બહાને તેને રોક્યો હતો. જે બાદ 18 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. એક ગઠિયાએ વેપારી સાથે બબાલ કરી હતી ત્યારે બાઈક પર બીજો શખસ આવ્યો હતો. જેને ટુવ્હિલરની ડેકીમાંથી રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો. આ ઘટનાની ડીટેક્શન હજુ થયુ નથી ત્યારે વધુ એક ઘટના બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:35 pm

આણંદમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાંઈ જીવન ટૂંકાવ્યું:પિતાએ કહ્યું- 'તેના ભાઈના મૃત્યુ બાદ ગમમાં ડૂબી રહેતી, બસ ફોનમાં ભાઈના ફોટા જોયા કરતી'

આણંદ શહેરના ઇસ્માઇલનગર વિસ્તારમાં 20 વર્ષીય યુવતી યાસ્મીનબાનુ અબદાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટના ઇરફાન નગરમાં આવેલા તેના ઘરે બની હતી, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, યાસ્મીનબાનુએ આજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક આણંદ શહેર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીના મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આણંદ શહેર પોલીસે આ મામલે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. યુવતીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતક યાસ્મીનબાનુના પિતા જુનેદ અહેમદે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં મારા પુત્રનું અવસાન થયું હતું. ત્યારથી યાસ્મીનબાનુ તેના ભાઈના ગમમાં ડૂબેલી રહેતી હતી. તે કોઈની સાથે વાતચીત કરતી ન હતી અને ફોનમાં તેના ભાઈના ફોટા જોયા કરતી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:28 pm

પઢીયાર ગામની ગંદકીનો મામલો દિલ્હી પહોંચ્યો:કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ માંગ્યો

પંચમહાલ જિલ્લાના પઢીયાર ગામમાં સ્વચ્છતાના અભાવ અને ગંદકીનો મામલો હવે દિલ્હી પહોંચ્યો છે. ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયે આ અંગે ગંભીર નોંધ લીધી છે. મંત્રાલયે ગુજરાત સરકારના પંચાયત વિભાગને તાત્કાલિક તપાસ કરી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગના ડાયરેક્ટર સંજય કુમાર સિન્હાએ 11 ડિસેમ્બર, 2025 ના રોજ ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને લેખિત પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં પઢીયાર ગામની ફરિયાદને અગ્રતા આપીને તપાસ કરવા અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નક્કર પગલાંનો 'એક્શન ટેકન રિપોર્ટ' કેન્દ્રને મોકલવા જણાવાયું છે. કેન્દ્ર સરકારના આ પત્રના વિષયમાં જ Request for Central Team Inspection (કેન્દ્રની ટીમ દ્વારા રૂબરૂ તપાસ) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સૂચવે છે કે જો રાજ્ય સરકાર સંતોષકારક ખુલાસો આપવામાં નિષ્ફળ રહેશે, તો દિલ્હીથી એક કેન્દ્રીય ટીમ સીધી પઢીયાર ગામમાં સ્થિતિની તપાસ કરવા આવી શકે છે. પઢીયાર ગામના જાગૃત નાગરિક કાનાભાઈ પરમારે 'સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)' હેઠળ ગામની વાસ્તવિક પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી. સામાન્ય રીતે ગ્રામ્ય સ્તરના પ્રશ્નો જિલ્લા કક્ષાએ જ ઉકેલાઈ જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં સ્થાનિક તંત્રની ઉદાસીનતાને કારણે મામલો કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો છે. હવે પંચાયત વિભાગે દિલ્હીમાં આ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો હોવાથી, પઢીયાર ગામમાં ગંદકી અને દબાણના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવે તેવી પ્રબળ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:27 pm

ઘોઘા રોડ 50 વારીયાના મકાનમાંથી કફ સીરપ નો જથ્થો ઝડપાયો:એસઓજીની ટીમે કફ સીરપ મોબાઇલ મળી કુલ રૂપિયા 10,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટિમ એ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે ઘોઘા રોડ પર આવેલ રાજારામના અવેડા પાસે 50 વારીયા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં બે શખ્સો ના નામ ખુલવા પામ્યા છે. ભાવનગર એસોજીની ટીમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, ઘોઘા રોડ પર રાજારામના અવેડા પાસે 50 વારીયા વિસ્તારમાં રહેતો હર્ષ રોહિત ચૌહાણ પોતાના ઘરે કોડાઇન ફોસ્ફેટનું ઘટક તત્વો ધરાવતા કફ સીરપની બોટલો રાખી ગેરકાયદે વેચાણ કરે છે, જે માહિતી આધારે એસઓજીની ટીમે રોહિતના ઘરે રેડ કરતા હર્ષ હાજર મળી આવ્યો હતો, અને તેના ઘરમાંથી કફ સીરપની 30 બોટલ તથા એક મોબાઇલ મળી કુલ રૂપિયા 10,970 નો મુદ્દામાલ કબજે કર્યો હતો, આ અંગે પૂછપરછ કરતા હર્ષ એ જણાવ્યું હતું કે, તેના મિત્ર તુષાર દિહોરાએ આ કફ સીરપનો જથ્થો પિંકલ ફાર્મસી એજન્સીના હિમાંશુ ડાભી પાસેથી મેળવી પોતાને આપ્યો હોવાનું જણાવ્યું હતું, અને પોતે નશાની કુટેવ ધરાવતા લોકોને વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું, આથી પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 8સી, 21એ અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:22 pm

નર્મદાના નીર વાગડના ખેડૂતો માટે આશીર્વાદરૂપ:રાપર તાલુકામાં 70,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર, કેનાલના પાણીથી ખેડૂતોને મોટો લાભ

વાગડ વિસ્તારમાં નર્મદા કેનાલના પાણીથી ખેતીમાં ક્રાંતિ આવી છે. આ વર્ષે એકલા રાપર તાલુકામાં 70,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે અભૂતપૂર્વ છે. નર્મદાના નીર હવે વાગડના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યા છે. નર્મદા કેનાલ રાપર તાલુકાના 39 ગામો અને ભચાઉ તાલુકાના 27 ગામોમાંથી પસાર થાય છે. આ ઉપરાંત, અન્ય ગામોમાં પણ બ્રાન્ચ કેનાલ દ્વારા ખેડૂતો નર્મદાના પાણીનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. ગયા વર્ષે રવિ પાકના જીરું, રાયડો, ઘઉં, શાકભાજી, ઇસબગુલ, એરંડા અને કપાસ સહિતના પાકોનું અંદાજે સવાસો કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું હતું. રાપર ખેતીવાડી અધિકારી ભરત શ્રીમાળીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 62,155 હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં ઘઉં (7715 હે.), ચણા (580 હે.), રાયડો (9030 હે.), જીરું (32670 હે.), ઇસબગુલ (2870 હે.), વરિયાળી (2675 હે.), શાકભાજી (650 હે.) અને ઘાસચારો (6035 હે.)નો સમાવેશ થાય છે. ખેડૂતો હજુ પણ વાવેતર કરી રહ્યા હોવાથી, રાપર તાલુકામાં કુલ 80 થી 85 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થવાનો અંદાજ છે. રાપર તાલુકાના 97 ગામો, ખડીરના 12 ગામો અને ભચાઉ તાલુકાના 27 ગામોનો સમાવેશ વાગડ વિસ્તારમાં થાય છે, જે મુખ્યત્વે ખેતી આધારિત છે. નર્મદા કેનાલ દ્વારા છેલ્લા એક દાયકાથી ખેડૂતો શિયાળા, ઉનાળા અને ચોમાસા એમ ત્રણેય સીઝનમાં પાકનું વાવેતર કરી રહ્યા છે. આના પરિણામે, ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોના સારા ભાવ મળી રહ્યા છે. રાપર APMC ખાતે હાલમાં 340 જેટલા વેપારીઓ અને કમિશન એજન્ટોને આવક થઈ રહી છે. વાગડ વિસ્તારમાં ખેતી આધારિત આર્થિક તેજી જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ રવિ પાક છે. દર વર્ષે અબજો રૂપિયાનું જીરાનું ઉત્પાદન થાય છે, અને સરકારી આંકડા મુજબ વાસ્તવિક વાવેતર ત્રણ ગણું હોય છે. આનાથી અનેક ખેતમજૂરો પણ ભાગીયા તરીકે આત્મનિર્ભર બન્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:15 pm

પુણેમાં અકસ્માતમાં મોરબીનો આર્મી જવાન શહીદ:મોરબીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ગણેશ પરમારના અંતિમ સંસ્કાર કરાયા

મોરબીના રહેવાસી આર્મી જવાન ગણેશ પરમારનું પુણે ખાતે અકસ્માતમાં માથામાં ઈજા થવાને કારણે અવસાન થયું છે. આજે મોરબીના સોનપુરી સ્મશાન ખાતે આર્મીના ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને મોરબીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ પરમાર મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ સભારાની વાડીમાં રહેતા હતા, તેઓ વર્ષ 2009માં આર્મીમાં જોડાયા હતા. હાલમાં તેઓ પુણે ખાતેના અહલ્યાબાય ટ્રેનિંગ કેમ્પમાં ફરજ બજાવતા હતા. ગત 9 ડિસેમ્બરના રોજ તેઓ પોતાનું વાહન લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો, જેમાં તેમને માથામાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેઓ ઘરે જઈને સૂઈ ગયા હતા. જ્યારે તેમને ફરજ પર બોલાવવા માટે ફોન આવ્યો, ત્યારે તેમના પત્નીએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ જાગ્યા ન હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના અધિકારીઓ દ્વારા શહીદ વીર ગણેશ પરમારના પરિવારને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આજે શહીદ વીર ગણેશ પરમારનો પાર્થિવ દેહ મોરબી લાવવામાં આવ્યો હતો. મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી લઈને તેમના નિવાસસ્થાન સુધી શ્રદ્ધાંજલિ યાત્રા નીકળી હતી, જેમાં સતવાર સમાજના લોકો અને મોરબીના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બપોરે શહીદ વીર ગણેશ પરમારના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. મોરબીના પંચાસર રોડ પર આવેલ સોનપુરી સ્મશાન ગૃહ ખાતે આર્મીના અધિકારીઓ અને જવાનોએ શહીદ વીર ગણેશ પરમારને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી પાઠવી હતી. ત્યારબાદ તેમની અંતિમવિધિ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:14 pm

જુનાગઢ વોર્ડ 12 માં ડામર રોડનુ કોકડું ગૂંચવાયું:​દિપાંજલિ-પ્રમુખનગર વિસ્તારમાં મંજૂર થયેલા રોડના કામો અટવાયા: 15 હજાર રહેવાસીઓને ધૂળની ડમરીઓથી ત્રાસ

​જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 હેઠળ આવતા દિપાંજલિ અને પ્રમુખનગર વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં વહીવટી તંત્ર અને એજન્સીઓ દ્વારા દાખવવામાં આવેલી ઉદાસીનતાને કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પાણી, ગટર અને ગેસ લાઈન જેવા તમામ ભૂગર્ભ કામો પૂર્ણ થઈ ગયા હોવા છતાં મેઇન રોડના રીસરફેસિંગના ડામર રોડના મંજૂર કામો શરૂ ન થતાં આજે સ્થાનિકોએ એકઠા થઈને મહાનગરપાલિકા કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી. આ વિસ્તારમાં રહેતા અને રિટાયર્ડ ડેપ્યુટી એજ્યુકેટીવ એન્જિનિયર એન. જે. આગઠે આ સમગ્ર મામલે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિકાસ કાર્યો મંજૂર થયા હતા, જેમાં પાણી પુરવઠાની પાઇપલાઇન,ભૂગર્ભ ગટરની મુખ્ય લાઈનો, ગેસની લાઇન અને ત્યારબાદ રોડ રીસરફેસિંગના કામોનો સમાવેશ થાય છે. ચોમાસાની ઋતુ નજીક આવતા, આશરે 12 થી 15 હજાર જેટલા સ્થાનિકોને એકસાથે હાલાકી ન ભોગવવી પડે તે માટે વિસ્તારના જાગૃત નાગરિકોએ મીટીંગ યોજીને તત્કાલીન કમિશનરને રજૂઆત કરી હતી. કમિશનરે પણ ત્યારે હકારાત્મક વલણ દાખવીને કામ કરતી એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, તમામ ભૂગર્ભ કામો પૂર્ણ થાય અને સ્થાનિક લોકો કહે ત્યારે જ રોડનું રીસરફેસિંગ કરવામાં આવે. સ્થાનિકોની રજૂઆત અનુસાર, હાલ તમામ પ્રકારની ભૂગર્ભ પાઇપલાઇન અને કનેક્શન આપવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.આ વિસ્તારના રોડ આરસીસીના નહીં પણ ડામરના હોવાથી વરસાદ વિનાના સમયગાળામાં જ રોડ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં, તમામ કામો પૂર્ણ થયા પછી પણ પ્રશાસન અને એજન્સીઓના સંકલનના અભાવે સમયસર કામગીરી શરૂ કરવામાં આવતી નથી.સ્થાનિકોએ જણાવ્યું હતું કે રસ્તાઓ પર ઠેર ઠેર ખોદકામ અને માટીના થર જામી ગયા હોવાથી શાળાએ જતાં બાળકો, વૃદ્ધો અને રોજિંદી અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મેઇન રોડ પર વાહનોની અવરજવર મોટી સંખ્યામાં હોવાથી ધૂળની ડમરીઓ ઉડે છે, જે સીધી રીતે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પહોંચાડી રહી છે. આ ગંભીર સમસ્યાને લઈને, અગાઉ 20મી નવેમ્બર 2025ના રોજ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, કામગીરી શરૂ ન થતાં, આજે દિપાંજલિ-પ્રમુખનગર સોસાયટી કમિટીના નેજા હેઠળ ડો. જી. કે. કાતરીયાના નેતૃત્વમાં, વિસ્તારના 30થી વધુ સ્થાનિકોએ ચારેય કોર્પોરેટરોને સાથે રાખીને જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં વિગતવાર આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં મેઇન રોડની ડામર રોડની કામગીરી સત્વરે શરૂ કરવાની માંગણી ઉપરાંત કેટલીક મહત્વની ટેકનિકલ બાબતો પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.જેમાં પેટા રોડ પર પાણી, ગેસ કે ગટરનું કામ જેવું પૂર્ણ થાય કે તરત જ તે વિભાગના એન્જિનિયર/કોન્ટ્રાક્ટરને રોડ રીપેરીંગનું કામ શરૂ કરવા સૂચના આપવી,મેઇન રોડની બંને બાજુએ આવેલી સ્કૂલો અને મોટી શેરીઓ પાસે સેફ્ટી બમ્પ મૂકવા.મેઇન રોડ બન્યા પછી ટુ-વે રસ્તા માટે સફેદ પટ્ટા મારવા તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે રોડનો વ્યવસ્થિત ઢાળ જાળવવો. રોડમાં આવતા ગટરના ઢાંકણાને રોડના લેવલ સાથે વ્યવસ્થિત કરવા, જેથી ભવિષ્યમાં રોડ તોડવો ન પડે અને ક્ષતિગ્રસ્ત ઢાંકણા બદલવા. ​સ્થાનિકોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા લોકોને સુખ-સુવિધા મળી રહે તે માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ પ્રશાસન અને એજન્સીઓના સંકલનના અભાવે આ યોજનાઓનો લાભ સમયસર મળી શકતો નથી. જોકે, આવેદનપત્ર રજૂ કર્યા બાદ કમિશનર દ્વારા તેમને હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે અને વહેલી તકે આ તમામ કામો પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે, જેનાથી સ્થાનિકોને રાહત થઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:11 pm

દ્વારકામાંથી ₹1.15 કરોડના ઍમ્બરગ્રીસ સાથે બે ઝડપાયા:દેવભૂમિ દ્વારકા LCBએ વ્હેલ માછલીના ઍમ્બરગ્રીસ સાથે પકડ્યા

દેવભૂમિ દ્વારકા LCBએ દ્વારકાના સયાજી સર્કલ પાસેથી ભાવનગરના બે શખ્સોને ₹1.15 કરોડના વ્હેલ માછલીના ઍમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 1.15 કિલો ઍમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે. LCB ટીમને જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીના આધારે PSI બી.એમ. દેવમુરારી અને તેમની ટીમે રેલવે સ્ટેશન નજીકના સયાજી સર્કલ પાસેથી નિરવ બાલાભાઈ ભટ્ટ અને સુનીલ ચંદ્રકાન્તભાઈ સંભવાણી નામના બે શખ્સોને પકડ્યા હતા. જપ્ત કરાયેલા ઍમ્બરગ્રીસનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર, દ્વારકા દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ જણાવ્યું કે તેઓ આ ઍમ્બરગ્રીસ ભાવનગરથી દ્વારકા વેચાણ અર્થે લાવ્યા હતા. બંને શખ્સો વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમને ફોરેસ્ટ વિભાગ, દ્વારકાને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી LCB PI બી.જે. સરવૈયાની સૂચના હેઠળ PSI બી.એમ. દેવમુરારી, વી.એન. સિંગરીયા, એસ.એસ. ચૌહાણ, ASI બલભદ્રસિંહ ગોહિલ, જગદીશભાઈ કરમુર, દિનેશભાઈ માડમ, હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, પીઠાભાઈ ગોજીયા, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા તથા રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારકાના સુનિલ ગોવિંદભાઈ કણઝારીયા અને વનપાલ (રાઉન્ડ ફોરેસ્ટર) દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:08 pm

PSI અને LRDની 13,591 પોસ્ટની જાન્યુઆરીમાં પરીક્ષા:ત્રીજા સપ્તાહથી ફિઝિકલ ટેસ્ટ શરૂ થવાની સંભાવના, 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ બંને કેડરની શારીરિક કસોટી (PET/PST) સંભવિત રીતે જાન્યુઆરી–2026ના ત્રીજા સપ્તાહથી શરૂ કરવામાં આવશે. ઉમેદવારોને શારીરિક કસોટી સંબંધિત તારીખો, સ્થળ તથા અન્ય માર્ગદર્શિકા અંગેની વિગતવાર સૂચના ભરતી બોર્ડ દ્વારા અધિકૃત રીતે વહેલી તકે જાહેર કરવામાં આવશે. લાખો યુવાનો આ ભરતી માટે તૈયારી કરી રહ્યા હોવાથી આ નોટિફિકેશન મોટી રાહતરૂપ સાબિત થઈ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિત તૈયારી સાથે GPRBની અધિકૃત વેબસાઇટ પર અપડેટ્સ ચેક કરતા રહે. 13,591 ખાલી જગ્યા પર 23 ડિસેમ્બર સુઘી ઓનલાઈન અરજી કરી શકાશેગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાની આ એક મોટી તક છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી 23 ડિસેમ્બર, 2025 સુઘી ઓનલાઈન અરજી કરી શકાશે. PSIની 858 ખાલી જગ્યા ભરાશે પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન(સ્નાતક) કરેલું હશે તે ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે. LRDની 12733 જગ્યાઓ પર ભરતી લોકરક્ષક(LRD)ની 12733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં મુખ્યત્વે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ (પુરૂષ/મહિલા)ની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ કરેલું હોવું તેવા ઉમેદવારો લોકરક્ષક(LRD) માટે અરજી કરી શકશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:06 pm

નવસારીમાં 20 કલાકમાં 3 દીપડા પાંજરે પૂરાયા:કુંભાર ફળિયામાંથી બે નર અને એક માદા દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

નવસારી જિલ્લાના કુંભાર ફળિયા ગામે વન વિભાગે 20 કલાકના ગાળામાં ત્રણ દીપડા પકડ્યા છે. પકડાયેલા દીપડાઓમાં બે નર અને એક માદા દીપડીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ગ્રામજનોની ફરિયાદ બાદ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક મોટા પાયે લેવાય છે, જે દીપડાઓ માટે આશ્રયસ્થાન બની રહે છે. દીપડાઓ શેરડીના ખેતરોનો ઉપયોગ મિલન, પ્રજનન અને બચ્ચાઓના ઉછેર માટે કરે છે. આ ઉપરાંત, પડતર વાડીઓ પણ તેમના માટે મહત્વપૂર્ણ રહેઠાણ પૂરું પાડે છે. કુંભાર ફળિયામાં દીપડા દેખાવાની અને મરઘાનું મારણ કરવાની ફરિયાદો ગ્રામજનો દ્વારા સરપંચને કરવામાં આવી હતી. સરપંચે સામાજિક વનીકરણ વિભાગ, નવસારીની સુપા રેન્જને જાણ કરી હતી. વન વિભાગે ખડસુપા રાઉન્ડના કુંભાર ફળિયા ગામે કૃષ્ણકાંત રણછોડભાઈ ચૌહાણના ખેતરમાં પાંજરું ગોઠવ્યું હતું. વહેલી સવારે શિકારની શોધમાં આવેલો આશરે ત્રણ વર્ષનો એક નર દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગે તેનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગામમાં વધુ દીપડા દેખાતા હોવાની જાણ થતાં વન વિભાગે વધુ બે પાંજરા ગોઠવ્યા હતા. એક પાંજરું ભૂખલ ફળિયામાં રહેતા હરેન્દ્રભાઈ ખંડુભાઈ પટેલના ઘર નજીક અને બીજું પાંજરું આશરે 200 મીટર દૂર મૂકવામાં આવ્યું. રાત્રિ દરમિયાન આશરે ત્રણ વર્ષનો બીજો નર દીપડો પાંજરે પુરાયો. તેના દોઢ-બે કલાક બાદ ત્રીજા પાંજરામાં આશરે ચાર વર્ષની એક માદા દીપડી પણ પકડાઈ. આમ, કુંભાર ફળિયામાંથી આશરે 20 કલાકના સમયગાળામાં કુલ ત્રણ દીપડા પકડાયા. વન વિભાગે ત્રણેય દીપડાઓનો કબજો લઈ તેમની ડોક્ટરી તપાસ કરાવી છે અને તેમને જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:00 pm

બિલ્ડરને AC મુદ્દે તકરાર મોંઘી પડી:ઓફિસનો કબ્જો સોંપવામાં વિલંબ કરવા બદલ 44 લાખ પર 9% વ્યાજ ચૂકવવા RERAનો આદેશ; ફરિયાદી 24% વ્યાજ માટે ટ્રિબ્યુનલમાં જશે

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર સ્થિત રત્નાકર 9 સ્કવેરના ઓફિસધારક અને પ્રમોટર વચ્ચે એ.સી. ફીટ કરાવવા અંગેની તકરાર થઇ હતી. આ તકરારના કારણે સર્જાયેલા વિખવાદ રેરા સુધી પહોંચ્યો હતો. જેમાં ફરિયાદીએ આ તકરારના કારણે ઓફિસનો કબ્જો વિલંબથી આપ્યો હોવાથી વ્યાજની રકમ ચુકવવા રેરામાં પ્રમોટર સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં રેરાએ ફરિયાદી ગ્રાહકને 44 લાખ 55 હજારની રકમ ઉપર વાર્ષિક 9 ટકાના વ્યાજની રકમ ચૂકવવા પ્રમોટર NCPL ઇન્ફ્રાકોન એલ.એલ.પી. ને હુક્મ કર્યો છે. જો કે ફરિયાદી આ હુક્મ સામે 24 ટકા વ્યાજની રકમ ચુકવવા ટ્રિબ્યુનલમાં જવાના હોવાનું જણાવ્યું છે. પ્રોજેક્ટની વિગતો અને ઓફિસ વેચાણનો બાનાખત સેટેલાઇટ રીજેન્સી પ્લાઝામાં આવેલી મે. એન.સી.પી.એલ. ઇન્ફ્રાકોન એલ.એલ.પી. એ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ગામની સીમના ટીપી સ્ક્રીમ નં. 31ના ફાઇનલ પ્લોટ નં. 81વાળી બિનખેતીની જમીન પર રત્નાકર-9 સ્કવેરના નામે પ્રોજેક્ટ મૂકયો હતો. આ પ્રોજેક્ટ 27, માર્ચ 2015માં શરૂ કર્યો હતો અને પૂર્ણ 30, સપ્ટેમ્બર 2019ના રોજ થયો હતો. આ પ્રોજેક્ટમાં શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં જયોત્સનાબેન રાજેન્દ્રભાઇ શાહ તથા દીપાબેન તુષારભાઇ શાહે બી-812 ઓફિસ વેચાણ લીધી હતી. તે અંગેનો રજિસ્ટર્ડ બાનાખત ( એગ્રીમેન્ટ ફોર સેલ ) તા. 17, એપ્રિલ 2017એ કર્યો હતો. તે મુજબ આ ઓફિસ 44,55,501માં વેચાણ લીધી હતી. વિલંબિત કબજા બદલ વ્યાજ મેળવવા RERA સમક્ષ અરજી કરીફરિયાદીઓએ ઓફિસના અવેજની પુરેપુરી કિંમત સામાવાળાને ચૂકવી આપી હતી, પરંતુ સામાવાળાએ ફરિયાદીની તરફેણમાં બાનાખતની શરત મુજબ તા. 31, ડિસેમ્બર 2018 સુધીમાં રજીસ્ટ્રેશન કરી કબ્જો સોંપ્યો ન હતો. કેમ કે સામાવાળાએ ફરિયાદીને VRV/VRF AC System મૂકવા માટે આગ્રહ કરીને રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નહીં હોવાની ફરિયાદ હતી. રેરાના હુકમથી સામાવાળા બિલ્ડરે ફરિયાદીની તરફેણમાં 24, ઓગસ્ટ 2020ના રોજ ઓફિસ અંગેનો વેચાણ દસ્તાવેજ કરી કબ્જો સોંપ્યો હતો, પરંતુ ઉપરોક્ત તકરારના કારણે કબ્જો સોંપવામાં વિલંબ થયો હોવાથી ફરિયાદીએ સામાવાળા પાસેથી વિલંબિત કબ્જા બદલ વાર્ષિક 24 ટકા પ્રમાણે વ્યાજ અપાવવા વિનંતી કરતી રેરા સમક્ષ અરજી કરી હતી. જો કે આ અંગે સામાવાળાએ પ્રાથમિક વાંધા સાથે લેખિત જવાબ રજૂ કર્યો હતો. AC સિસ્ટમ પર સંમતિ ન મળવાથી વિલંબ થયો હોવાનો બચાવવધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રત્નાકર 9 સ્કવેર પ્રોજેક્ટમાં VRV/VRF AC System દરેક યુનિટમાં લગાવવા માટે યોજના કરી હતી. તે મુજબ ફરિયાદીએ પણ લગાવવાની રહેતી હતી, પરંતુ ફરિયાદી તે માટે સંમત થયા નહીં. તેના કારણે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરવામાં વિલંબ થયો છે. સામાવાળાએ વધુમાં જણાવ્યું છે કે, રજીસ્ટર્ડ બાનાખતની શરત મુજબ 31, ડિસેમ્બર 2018 સુધીમાં કબ્જો સોંપી આપવો તેવી શરત ન હતી, પરંતુ સોંપી આપવા પ્રયત્ન કરશે તે પ્રમાણે શરત હતી અને સિમેન્ટ, સ્ટીલ વગેરે ઉપલબ્ધતા તથા અન્ય સંજોગો ધ્યાનમાં લેવાના હતા. સામાવાળાએ બાંધકામ પુરું કરી ફરિયાદીને ઓફિસનો કબ્જો લેવા જણાવ્યું, પરંતુ ફરિયાદીએ એસી માટે સંમંત થયું નહીં અને તેની તકરાર ઊભી કરી કબ્જો લીધો ન હતો. માટે ફરિયાદી વિલંબિત કબ્જા અંગે વ્યાજની કોઇ રકમ મેળવવા હક્કદાર નથી. જેથી ફરિયાદીની ફરિયાદ રદ કરવી જોઇએ. RERAએ વાર્ષિક 9 % વ્યાજ ચૂકવવા હુકમ કર્યોબંને પક્ષકારોની રજૂઆત તથા અન્ય કાયદાની જોગવાઇઓ વગેરે તપાસીને રેરાના મેમ્બર એમ.એ. ગાંધીએ ફરિયાદ અંશત મંજુર કરવાનો હુક્મ કર્યો હતો. આ હુક્મમાં 44,55,501 ઉપર 1, જાન્યુઆરી 2019થી 24, ઓગસ્ટ 2020 સુધીના સમયનું વાર્ષિક 9 ટકા પ્રમાણે વ્યાજ ફરિયાદીને ચુકવવા એલોટી પ્રમોટરને આદેશ આપ્યો છે. આ આદેશમાં નોંધ્યું છે કે, કાયદાકીય પરિસ્થિતિ મુજબ કબ્જો સોંપવામાં થયેલો વિલંબ બદલ રેરા એક્ટની કલમ 18 ( 1 )ની જોગવાઇ મુજબ ફરિયાદીને એબસોલ્યુટ અધિકાર છે. તેથી સામાવાળાએ વિલંબિત સમય માટે વ્યાજ ચુકવવા જવાબદાર છે. વિલંબ માટે બિલ્ડર જવાબદારઆ કેસમાં સિમેન્ટ, સ્ટીલ, વોટર કે અન્ય મટીરીયલ મળી શક્યું નહીં અથવા તો મજૂરની અછત, ભૂકંપ વગેરે કારણોને કારણે કબજો સોંપવામાં વિલંબ થયો હોય તેવી હકીકત બની હોય તેવા સામાવાળાએ કોઇ પુરાવા રજૂ કર્યા નથી. જે સંજોગોમાં પણ સામાવાળાને બાનાખતના પેરા 7 ( એ )ની શરત ઉપર કોઇ બચાવ મળતો નથી. બાનાખતમાં સમય એ મહત્ત્વનું તત્વ હતું અને બંને પક્ષોએ સમય મર્યાદામાં તેઓના ભાગે આવતી જવાબદારી નિભાવવાની હતી. માટે બાનાખતના પેરા -7 ( એ )માં કબ્જો સોંપવાની અપેક્ષિત તા. 31, ડિસેમ્બર 2018 લખવામાં આવેલું છે. તે ચોક્કસપણે જોવાની રહે છે. બિલ્ડરે ફરજિયાત AC ખરીદવા માટે તકરાર કરી હતીઆ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તુષાર શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, વસ્ત્રાપુરમાં NCPL ઇન્ફ્રાકોન એલ.એલ.પી. અને તેના ડેઝીગનેટેડ પાર્ટનર ઉપેન્દ્રભાઇ શાહ તથા નિશાંતભાઇ શાહ છે. રત્નાકર નાઇન સ્કવેરમાં મારી મમ્મી તથા ધર્મપત્નીના નામે ઓગસ્ટ-સપ્ટેમ્બર-2016માં પર સ્કવેર ફીટના 5450ની કિંમતે ઓફિસ બુક કરાવી હતી. એપ્રિલ-2017માં એગ્રીમેન્ટ ટુ સેલ રજીસ્ટર્ડ થયો હતો. ત્યારબાદ એપ્રિલ - 2019માં આ બિલ્ડીંગની બી.યુ. પરમીશન આવતાં અમે પુરેપુરું પેમેન્ટ ચુકવી દીધું હતું. જેમાં પઝેશન ડિપોઝીટ, મેઇન્ટેનન્સ ડિપોઝીટ તથા બે વર્ષનું મેઇન્ટનન્સ ચુકવી આપ્યું હતું. ત્યારબાદ બિલ્ડરે ફરજિયાતપણે તેમની પાસેથી એરકન્ડીશન્ડ લેવા માટેની તકરાર કરી હતી. ACના ક્લોઝ અને દંડ અંગે RERAમાં ફરી ફરિયાદઆ અંગે અમે વાંધો ઉઠાવતાં તેમણે પઝેશન આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે ડાયકીન કંપનીનું જ એરકન્ડીશન્ડ ખરીદવાનો આગ્રહ રાખ્યો હતો. એટલું જ નહીં પરંતુ પર સ્કવેર ફીટના 200 લેખે 1273 સ્કવેર ફીટની 2.50 લાખ રૂપિયાની રકમ ભરવા કહ્યું હતું. આ અંગે જેનાથી અમને જીએસટી ક્રેડીટનું પણ નુકસાન થાય અને અમારે દસ્તાવેજમાં સ્ટેમ્પ ડયૂટી પણ વધારે ભરવી પડે. તકરારનું મુખ્ય કારણ એરકન્ડીશન્ડનું દબાણ હતું. જેથી અમોએ આ અંગે એગ્રીમેન્ટમાં કોઇ શરત હતી નહીં. જેથી અમે રેરામાં ફરિયાદ કરી હતી. જેમાં રેરાએ બિલ્ડરને 30 દિવસમાં એરકન્ડીશન્ડનો કલોઝ કાઢીને દસ્તાવેજ કરી આપવા હુક્મ કર્યો હતો, પરંતુ બિલ્ડરે દસ્તાવેજ નહીં કરી આપતાં અમે ફરીવાર રેરામાં ફરિયાદ કરી હતી. RERA દ્વારા ફરિયાદ રદ થતાં હાઈકોર્ટમાં રજૂઆત કરાઈજ્યાં સુધી દસ્તાવેજ ન કરી આપે ત્યાં સુધી દરરોજના 10 હજાર લેખે દંડ ચુકવવાનો હુક્મ કર્યો હતો. છતાં બિલ્ડરે પઝેશન નહીં આપતાં અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. પછી અમે ઓગસ્ટ-2020માં દસ્તાવેજ કરી આપ્યો હતો અને પઝેશન પણ આપી દીધું હતું. ત્યારબાદ વ્યાજ તથા વળતર મેળવવા માટેની ફરિયાદ કરી હતી. જે રેરાએ કોઇપણ વાજબી કારણ વગર રદ કરી હતી કે આ ફરિયાદ એફિડેવિટ પર નથી. ફરિયાદ એફિડેવિટ પર જોઇએ જ નહીં અને આ અંગે ખુદ રેરાના પોતાના હુક્મો પણ છે. 9% વ્યાજના હુકમથી અસંતોષ અને ટ્રિબ્યુનલમાં જવાની તૈયારીઅમારી ફરિયાદ રદ કરનાર જજના જ આ અંગેના હુક્મ છે કે ફરિયાદ એફિડેવિટ પર જોઇએ નહીં. જેથી અમે રેરાના હુક્મ સામે હાઇકોર્ટમાં ગયા હતા અને આ અંગે હાઇકોર્ટમાં રજૂઆત કરતાં હાઇકોર્ટે અમારી ફરિયાદ રેરામાં રિસ્ટોર કરી આપી હતી. જેમાં તાજેતરમાં રેરાએ 9 ટકા વ્યાજ ચુકવવાનો હુક્મ કર્યો છે, પરંતુ અમારી માંગણી 24 ટકા લેખે વ્યાજ ચુકવવાની છે. કાયદેસર એગ્રીમેન્ટમાં જો બિલ્ડર 24 ટકા વસૂલ કરતાં હોય તો તેમણે પણ 24 ટકા વ્યાજ આપવું જોઇએ તેવો રેરાનો કાયદો છે. આ અંગેના અમારી પાસે રેરાના હુક્મો પણ છે છતાં રેરાએ કોઇપણ જાતનું કારણ દર્શાવ્યા વિના 9 ટકા વ્યાજ ચુકવવાનો હુક્મ કર્યો છે. જેનાથી અમને બિલકુલ અસંતોષ છે. તેની સામે અમે ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરવાના છીએ. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, અમે પોલીસમાં ફરિયાદ નહીં બલ્કે અરજી આપી હતી. પણ પોલીસે કોઇપણ તપાસ કર્યા વગર અમને પી.આઇ. ધમકાવતાં હતા. આ અંગે તત્કાલિન શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. શહેર પોલીસ કમિશનરના આદેશ આપ્યો હતો. અમારે દસ્તાવેજ થઇ ગયો હતો પછી FIR કરવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:56 pm

સુરતમાં મંડપના ગોડાઉનમાં ભિષણ આગ, 3KM દૂર ધુમાડાના ગોટેગોટા દેખાયા:AK રોડ પરના ગોડાઉનમાં કપડા અને ગાદલાના કારણે આગ વિકરાળ બની, ફાયરની 17 ગાડી ઘટનાસ્થળે

સુરતમાં આજે વધુ એક આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં સ્મશાનગૃહની સામે આવેલા એક મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ત્રણ કિમી દૂરથી પણ આ ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. આ ગોડાઉન પતરાના શેડમાં બનાવવામાં આવ્યું હતું અને તેમાં મંડપના સામાનનો મોટો જથ્થો સંગ્રહાયેલો હતો. મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીપ્રાથમિક માહિતી અનુસાર, ગોડાઉનમાં રહેલા કાપડ, ગાદલા અને અન્ય જ્વલનશીલ સામાનને કારણે આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. આગની ભીષણતાને ધ્યાનમાં રાખીને, શહેરના 9 ફાયર સ્ટેશનની 15 થી 17 જેટલી ગાડીઓને સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ કરવાનો પ્રયાસ ચાલુહાલમાં, ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. હજુ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે અને જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:56 pm

સગીરાનું અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદ:ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટે પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો

ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સરઢવ ગામના આરોપી અક્ષય ભરતભાઇ દંતાણીને ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ અને કુલ 12 હજારનો દંડ ફટકાર્યો છે. આ સિવાય કોર્ટે પીડિત સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. સરઢવ ગામના શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતીગાંધીનગરના સરઢવ ગામનો આરોપી અક્ષય દંતાણીએ તા.5 જાન્યુઆરી 2022થી 6 ડિસેમ્બર, 2022 દરમિયાન સરઢવ ગામેથી 16 વર્ષ અને 8 માસની સગીર વયની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી જારકર્મના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયો હતો. બાદમાં સગીરાને નવસારી ખાતે ગોંધી રાખી આરોપીએ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી ગંભીર ગુનો આચર્યો હતો. આ અંગે સગીરાના પિતાએ 10 ડિસેમ્બર 2022ના રોજ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને 12 હજારનો દંડ જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જે કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સુનિલ એસ.પંડ્યાએ દલીલ કરી હતી કે, આરોપીએ નાની સગીર વયની બાળકી સાથે બળજબરીથી અને તેની મરજી વિરુદ્ધ વારંવાર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. સમાજમાં આવા ગુનાઓ રોકવા અને દાખલો બેસાડવા માટે આરોપીને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ થવો જોઈએ. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી અક્ષય દંતાણીને પોક્સોના ગુનામાં 20 વર્ષની સખ્ત કેદ અને 12 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. જ્યારે પીડિત સગીરાને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:51 pm

ભાગીદાર મહિલા પર તૂ઼ટી પડ્યો:ગળું દબાવી આડેધડ ઢીક્કા-મુક્કા માર્યા, SIRની સમયમર્યાદામાં વધારો, નાવીયાણી ગામ પાસે અકસ્માત, ત્રણ યુવકોનું મોત

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદામાં વધારો ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદામાં વધારો કર્યો છે. હવે 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે અને 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતની ચૂંટણીઓમાં 14% વોટ ચોરી થતી હોવાનો આક્ષેપ ગુજરાતની ચૂંટણીઓમાં 14% વોટ ચોરી થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો.સાથે જ ચૂંટણીપંચના આંકડા જાહેર કરી 74 લાખથી વધુ વોટ ચોરીનો દાવો કર્યો છે. વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ 14 ડિસેમ્બરના દિલ્લીમાં મહારેલી યોજશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો CMએ બનાસકાંઠાને 1000 કરોડની ભેટ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાત હતા. જ્યાં તેમણે 1000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.બનાસકાંઠાને આજે 22થી વધુ વિકાસ કાર્યોની ભેટ મળી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગણેશ ગોંડલનો આજે નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો. જેનો 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવશે.જે બાદ રિપોર્ટ વીડિયોગ્રાફી સાથે હાઇકોર્ટ સમક્ષ મૂકાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરેન્દ્રનગરના નાવીયાણી ગામ પાસે અકસ્માત, ત્રણ યુવકોનું મોત સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે અકસ્માત સર્જાયો. જેમાં બાઇક સવાર બે સગાભાઇ સહિત ત્રણ યુવકોનું મોત થયું છે.અજાણ્યો વાહન ચાલક ત્રણેયને ફંગોળી ફરાર થઇ ગયો. મૃતક બંને ભાઇઓનો નોકરીનો આજે પ્રથમ દિવસ હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાગીદાર સાયકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો રાજકોટમાં એક વ્યક્તિ મહિલા પર સાયકો કિલરની જેમ તૂ઼ટી પડ્યો. મહિલાને પહેલા ખુર્શી પર ગળું દબાવી આડેધડ ઢીક્કા-મુક્કા માર્યા અને પછી વાળ પકડીને નીચે પાછાડી માથે કુદ્યો. માર મારનાર વ્યક્તિ યુવતીનો ધંધાકીય ભાગીદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સાસરિયા પક્ષના ત્રાસથી યુવકે આપઘાત કર્યો ગોંડલમાં સાસરિયા પક્ષના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો.મૃતક યુવકે લખેલી સુસાઇડ નોટમાં સાસરિયા પક્ષના પાંચ લોકોએ ₹50 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નશામાં ધૂત કારચાલકે બુલેટ સવાર યુવકને ઉડાવ્યો વડોદરામાં નશામાં ધૂત કારચાલકે બુલેટ સવાર યુવકને ઉડાવ્યો. કારે સ્પીડબ્રેકર કૂદાવી બૂલેટને ટક્કર મારી.આ ઘટનામાં યુવક ઈજાગ્રસ્ત થયો છે. કારની ડીકીમાંથી દારુની બોટલ પણ મળી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દુષ્કર્મના આરોપીએ બે હાથ જોડી માફી માગી રાજકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીએ તપાસ દરમિયાન ગત રોજ ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો.સામે પોલીસે આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા તેને પગમાં ગોળી વાગી. આજે બે હાથ જોડીને આરોપીએ માફી માગી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો..નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. આગામી દિવસોમા તાપમાનમાં એકથી બે ડિગ્રીની વધઘટ થવાની શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:50 pm

અંકલેશ્વર કોલસા ચોરી કેસ:ગ્રામ્ય પોલીસે એક વર્ષથી ફરાર સુરેન્દ્રનગરના આરોપીની ધરપકડ કરી

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે કોલસા ચોરીના એક કૌભાંડમાં છેલ્લા એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી સગરામ હિરાભાઈ વાઘાભાઈ માલકીયાની ધરપકડ કરી છે. આરોપી ભોયરેશ્વર, માત્રીમાં મઢ પાસે, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગરનો રહેવાસી છે. આ કૌભાંડ ભરૂચ એલ.સી.બી. દ્વારા અંકલેશ્વર-પાનોલી વચ્ચે હાઇવેને અડીને આવેલા શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી ઝડપી પાડવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટ, 2024ના રોજ આ કોલસા ચોરીનો પર્દાફાશ થયો હતો, જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સગરામ મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ હતો અને છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. તેની ધરપકડ માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી. દરમિયાન, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી સુરેન્દ્રનગરથી સુરત તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ ટીમે વાલિયા ચોકડી પાસે છટકું ગોઠવી સગરામને ઝડપી પાડ્યો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:40 pm

જસદણમાં બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાનો દાહોદમાં વિરોધ:કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન પાઠવ્યું, આરોપીને કડક સજા થાય તેવી માગ કરાઈ

દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. આ આવેદનપત્ર ગરબાડા તાલુકાના એક ગામની બાળકી પર જસદણ તાલુકાના એક ગામમાં થયેલા દુષ્કર્મની ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આરોપીને કડક સજા થાય તેવી માગ કરાઈ હતી. મુળ ગરબાડા તાલુકાની વતની આ બાળકીનો પરિવાર મજૂરી માટે જસદણ ગયો હતો, જ્યાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે બાળકીને ગંભીર ઇજાઓ થઈ છે. જેથી સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સમિતિએ આ ઘટનાના દોષિત વિરુદ્ધ તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી છે. તેમણે પીડિત પરિવારને તાત્કાલિક સુરક્ષા અને યોગ્ય સહાય પૂરી પાડવા તેમજ બાળકીને ન્યાય મળે તેની ખાતરી કરવા જણાવ્યું. કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું કે, આવી ઘટનાઓ માત્ર કાનૂની ગુનો નથી, પરંતુ માનવતા વિરુદ્ધનો અપરાધ છે. તેમણે દોષિતને ઉદાહરણરૂપ સજા મળે તેવી માંગ કરી છે. આ આવેદનપત્ર રજૂ કરવાના કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા-તાલુકાના વિરોધ પક્ષના નેતાઓ, વિવિધ સેલ વિભાગોના પ્રમુખો તથા મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આવેદન દરમિયાન, ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ, પીડિતાને ન્યાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:27 pm

ગુજરાતમાં ઠંડીનો દૌર લંબાયો:ગુજરાતમાં હજી 10 દિવસ કડકડતી ઠંડી નહીં: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહીંવત્ રહેતાં ડિસેમ્બર અંતમાં જ ઠાર જામશે

હાલ ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની) અસર ન હોવાને કારણે કડકડતી ઠંડીનો દૌર લંબાયો છે. હાલ લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી આસપાસ રહેતાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી અનુભવાશે, પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધશે કારણ કે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. ઠંડી ન વધવાનું મુખ્ય કારણ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ની અસરનો અભાવ છે, જેના કારણે બરફવર્ષા થઈ રહી નથી. નિષ્ણાત મુજબ, આગામી દસ દિવસ સુધી ઠંડીનું જોર ઓછું રહેશે. 19 અને 20 ડિસેમ્બરની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે તેવી શક્યતા છે, નિષ્ણાત ધીમંત વઘાસીયાના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. હાલ લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેને કારણે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અનુભવ થાય છે. જોકે, મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે આ સમયે મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રીની આસપાસ હોય છે, પરંતુ હાલમાં તે ઊંચું રહેવાને કારણે બપોરના સમયે ઠંડીનું પ્રમાણ નહીંવત્ રહે છે અને ગરમી જેવો માહોલ અનુભવાય છે. હાલ મહત્તમ તાપમાન ઊંચું રહેવા પાછળનું મુખ્ય કારણ ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ન થવી છે. સામાન્ય રીતે આ સમયગાળામાં પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર ભારતમાં બરફવર્ષા થતી હોય છે, જેના પરિણામે ઠંડા પવનો દક્ષિણ તરફ એટલે કે ગુજરાત તરફ આવે છે અને ઠંડીમાં વધારો થાય છે. પરંતુ, આ વિક્ષોભની અસર ન હોવાથી ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હાલ બરફવર્ષા જોવા મળી રહી નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે આગામી લગભગ દસ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી શકે છે. ઠંડીનો જોરદાર ચમકારો 19 અને 20 ડિસેમ્બરની આસપાસ પશ્ચિમી વિક્ષોભની અસર ઉત્તર ભારતમાં જોવા મળે તેવી શક્યતા છે. આ અસર બાદ ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં, એટલે કે 25 ડિસેમ્બર પછીથી, ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે. આ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. વરસાદ અંગે રાહતની વાત એ છે કે, આગામી એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદની શક્યતાઓ નહીંવત્ છે. આકાશ મુખ્યત્વે ચોખ્ખું અને સ્વચ્છ રહેશે. જોકે, મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:11 pm

ભરૂચ RTO માં સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર:થોડાક દિવસોમાં જ AI આધારિત ટેસ્ટિંગ શરૂ થવાની શક્યતા, ડ્રાઇવિંગ ટેસ્ટ બાદ તુરંત પરિણામ મળશે

ભરૂચ સહિત રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પદ્ધતિ આધુનિક બની રહી છે. તબક્કાવાર જૂના સિસ્ટમને બદલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વીડિયો એનાલિટીક ટેકનોલોજી પર આધારિત સ્માર્ટ ટ્રેક શરૂ કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ભરૂચ આરટીઓમાં આ સ્માર્ટ ટ્રેકનું કામ લગભગ પૂર્ણતાની નજીક પહોંચી ગયું છે. આ નવનિર્મિત ટ્રેક પર પ્રથમ સિવિલ કામગીરી પૂર્ણ કરાઈ હતી, ત્યારબાદ 18 જેટલા AI આધારિત સીસીટીવી કેમેરા, સિગ્નલ લાઇટો અને ટ્રેકની શરૂઆત તથા અંતે ડિસ્પ્લે સ્થાપિત કરાયા છે. સમગ્ર AI સિસ્ટમનું સંચાલન કરવા માટે વિશિષ્ટ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલ જૂની પદ્ધતિ મુજબ સ્પીકર દ્વારા સૂચના આપી અને કારમાં સેન્સર લગાવી ટેસ્ટ લેવાય છે, પરંતુ નવા ટ્રેક પર આ સેન્સર પૂર્ણ રીતે દૂર થશે. અરજદારને ફક્ત સિગ્નલ લાઈટ મુજબ ટેસ્ટ આપવા મળશે. નાનીમાં નાની ભૂલ પણ AI પકડી લેશે, એટલે સાચી ડ્રાઇવિંગ આવડત ધરાવતા અરજદાર જ પાસ થઈ શકશે. ડ્રાઇવિંગ ટેસ્ટ પછી અરજદાર પાસ કે ફેલ તેની તુરંત ખબર પડી જશે AI આધારિત ટ્રેક પર અરજદાર જ્યારે અંતિમ સ્ટેજ પૂરું કરીને કાર રિવર્સ કરે છે ત્યારે બહાર નીકળતી વખતે સામે જ મુકાયેલા ડિસ્પ્લે પર તરત પરિણામ દેખાશે. અરજદારને આરટીઓ ઑફિસમાં પૂછપરછ કરવાની પણ જરૂર નહીં રહે. ટ્રેક પર AI કેમેરા, સિગ્નલ અને ડિસ્પ્લેની સ્થાપના પૂર્ણઆરટીઓ અધિકારી મિતેશ બંગાલે અનુસાર સિવિલ વર્ક બાદ ટ્રેક પર તમામ AI કેમેરા, સિગ્નલ લાઇટો અને ડિસ્પ્લે લગાવી દેવામાં આવ્યા છે. મોટાભાગનું કામ પૂરું છે અને હવે ઓડિટ બાદ 15 દિવસ બાદના સમયમાં AI આધારિત ટેસ્ટિંગ શરૂ થવાની શક્યતાઓ છે. કાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં કુલ ચાર સ્ટેજ સમય મર્યાદા સાથે પૂર્ણ કરવા ફરજિયાત છે રિવર્સ પાર્કિંગ : 90 સેકન્ડ સ્લોપ ચઢાણ : 180 સેકન્ડ અંગ્રેજી 8 : 90 સેકન્ડ રિવર્સ S : 180 સેકન્ડ કુલ મળીને 540 સેકન્ડ એટલે કે, 9 મિનિટ મળે છે. હવે AI આ ચારેય સ્ટેજનું અવલોકન કરી અરજદારને પાસ કે નાપાસ જાહેર કરશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:03 pm

રાજકોટમાં ખેડૂતોને રૂ.1143 કરોડ ચૂકવાયા:33 કેન્દ્રો પરથી મગફળી - સોયાબીનની ટેકાના ભાવે ખરીદી, અતિવૃષ્ટિને લીધે પાક નુકશાનીનું વળતર અપાયુ

રાજકોટ જિલ્લા સહિત રાજયના નિયત કરાયેલા કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે. આ માટે 160 થી વધુ કેન્દ્રો ધમધમી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં 33 જેટલા સેન્ટરો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. મગફળી ખરીદી માટે જિલ્લાના 1.74 લાખ પૈકીના 82 હજાર ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 19.20 લાખ કિવન્ટર મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેની કિંમત રૂ. 729 કરોડ થવા જાય છે.અત્યાર સુધીમાં મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અને પાક નુકશાનીના વળતર પેટે ખેડૂતોને કુલ રૂ.1143 કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, પાક નુકશાનીનું વળતર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં 2,41,466 અરજીઓ આવેલી હતી જેમાંથી 2,26,510 અરજીઓ મંજુર કરવામાં આવેલી છે અને તેમાંથી 1,38,493 ખેડૂતોને રૂ.400 કરોડની સહાય આપવામાં આવેલી છે. રાજ્ય સરકાર ટેકાનો ભાવ એક મણ મગફળીના રૂ.1356 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ રૂ.1100 થી રૂ.1200 મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો ટેકાના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ.7,645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ.450 કરોડના મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરશે. ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ. 1356.60નો ભાવ નિયત કર્યો છે.તેમજ મગ પ્રતિ મણના રૂ.1736.40, સોયાબીન પ્રતિ મણ માટે રૂ.978.40 અને પ્રતિ મણ અડદ માટે રૂ.1480નો ભાવ નક્કી કર્યો છે. રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી 15 નવેમ્બરથી આ ખરીદી કરવામાં આવી રહી છે. સોયાબીનમાં જિલ્લાના 15000 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં અત્યાર સુધીમાં 1 લાખ કવીન્ટલ સોયાબીનની ખરીદી થઈ ચૂકી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:57 pm

ST બસચાલકે મોપેડને ટક્કર મારી માથે ચડાવી દીધી, CCTV:સમયસર લોકોની મદદ અને નસીબના જોરે માતા-બે બાળકોનો આબાદ બચાવ, દિલ્હીગેટથી સ્ટેશન રોડ પરની ઘટના

સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં આજે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની ST બસે મોપેડ પર સવાર એક મહિલા અને તેમના બે બાળકોને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સદનસીબે, સમયસર લોકોની મદદ અને નસીબના જોરે માતા અને બંને બાળકોનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. એસટી બસના ડ્રાઈવરે મોપેડને ટક્કર મારીપ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટથી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ પર થયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એક બસ પૂરપાટ ઝડપે આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે, એક મહિલા પોતાના બે નાના બાળકો સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. એસટી બસના ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી હતી. બસની ટક્કરથી મોપેડ પર સવાર માતા અને બંને બાળકો રોડ પર પટકાયા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદઆ સમગ્ર ગંભીર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બસ મોપેડને અડફેટે છે અને ત્રણેય સવારો નીચે પટકાય છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ માતા અને બાળકોને મોપેડ નીચેથી બહાર કાઢી લીધા હતા. માતા અને બાળકોનો આબાદ બચાવગંભીર અકસ્માત હોવા છતાં, માતા અને તેમના બંને બાળકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. તેઓને ગંભીર ઈજાઓ થતા ટળી હતી. જોકે, એક બાળકને પગના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી, જેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. અન્ય માતા અને બીજા બાળક સુરક્ષિત છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:54 pm

ભટારમાં એકતરફી પ્રેમમાં પાગલ આતંક મચાવનાર રોમિયો ઝડપાયો:હાથમાં છરો લઈ યુવતીના ઘરમાં ઘૂસ્યો, ધમકી આપતાં કહ્યું, જો મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખીશ

સુરત શહેરના ભટાર વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા એક યુવકે યુવતી અને તેના પરિવારનો જીવ તાળવે ચોંટાડી દીધો હતો. પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે હાથમાં ઘાતક છરો લઈ યુવતીના ઘરમાં ઘૂસી જઈ હોબાળો મચાવ્યો હતો. આખરે ગભરાયેલા પરિવારે ખટોદરા પોલીસનું શરણું લેતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. યુવક પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતોપ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ભટાર વિસ્તારમાં આવેલી આઝાદ નગર, ગોકુલ નગર સોસાયટીમાં રહેતો રોહિત ઉર્ફે ટલ્લો જયેશભાઈ રાઠોડ નામનો યુવક તેના જ વિસ્તારમાં રહેતી એક યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. રોહિત અવારનવાર યુવતીનો પીછો કરતો અને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જોકે, યુવતીની સગાઈની વાત અન્ય જગ્યાએ ચાલતી હોવાથી તેણે રોહિતના તાબે થવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ઘરમાં ઘૂસી છેડતી કરી અને ધમકી આપીયુવતીએ પ્રેમ સંબંધની ના પાડતા રોહિતે અદાવત રાખી હતી. તે યુવતીનો પીછો કરીને તેને હેરાન-પરેશાન કરતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે રોહિત અગાઉ પણ યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેનો હાથ પકડી ખેંચીને છેડતી કરી હતી. તે સમયે પરિવારજનોએ વચ્ચે પડીને યુવતીને બચાવી લીધી હતી. 'જો મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખીશ'પરંતુ રોહિતનું પાગલપણ અહીં અટક્યું ન હતું. તાજેતરમાં તે હાથમાં મોટો ઘાતક છરો લઈને ફરીથી યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે પરિવાર અને યુવતીને ધમકી આપતા કહ્યું હતું કે, જો મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખીશ. ખટોદરા પોલીસે આરોપીને દબોચી લીધોઆ ઘટનાને પગલે યુવતી અને તેનો પરિવાર ભયના ઓથાર હેઠળ આવી ગયો હતો. આખરે કંટાળીને અને ડરના માર્યા પરિવારજનોએ ખટોદરા પોલીસ મથકમાં રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા જોઈ ખટોદરા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો અને મોડી રાત્રે જ આરોપી રોહિત ઉર્ફે ટલ્લાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:36 pm

દોઢ વર્ષમાં બનનાર ફાયર કવાર્ટર 3 વર્ષે પણ અધૂરા:પૂર્વ શહેર કોગ્રેસ પ્રમુખે કહ્યું-'શહેરના કોઈ કામો સમયસર પૂરા થતા નથી', માર્ચ 2026 સુધીમાં બની જશે: મેયર

ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં ફાયર વિભાગના કર્મચારીઓ માટે બની રહેલા સ્ટાફ ક્વાર્ટરોનું કામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વર્ષ 2023માં રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે શરૂ કરાયેલું આ કામ 18 મહિનાની સમયમર્યાદામાં પૂરુ થવાનું હતું, પરંતુ આજે દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં હજુ 30 ટકા કામ અધૂરું છે. ફાયર સ્ટાફને આપાતકાલીન પરિસ્થિતિમાં સમયસર લોકોને સેવા મળે તે માટે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના ધીમા કામકાજને લઈને કોંગ્રેસે મનપાના શાસકો પર આકરા આક્ષેપો કર્યા છે, જ્યારે શાસકો આ આક્ષેપોને આધારહીન ગણાવી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે ફાયર કર્મચારીઓને આ ક્વાર્ટરની સુવિધા આખરે ક્યારે મળશે? 18 મહિનામાં પુરુ થવાનું કામ 2 વર્ષે પણ અધૂરુંભાવનગર મહાનગરપાલિકામાં થઈ રહેલા વિકાસ કામો વિલંબિત ગતિએ ચાલી રહ્યા છે, સમય મર્યાદા વીતવા છતાં કામો પુરા નહીં થતા તંત્ર દ્વારા સમય મર્યાદા વધારવામાં આવે છે, જેમાં કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી વિકાસના કામો સમયસર પુરા નહીં થતા મહાનગરપાલિકાનાં અધિકારી, પદાધિકારી તેમજ કામ કરતી એજન્સીઓ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ફાયર સ્ટેશનની નજીકમાં 5 માળનું ફાયર સ્ટાફના બિલ્ડીંગ ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ 5 માળના બિલ્ડિંગના આ કામમાં ટેન્ડરની શરત મુજબ 18 માસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, નિર્મળનગર ફાયર સ્ટેશન નજીક ફાયર સ્ટાફ ક્વાર્ટર બનાવવાનું કામ 7 જાન્યુઆરી 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેને 6 જુલાઈ, 2024 સુધીની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું હતું, જે કામની સમય મર્યાદા પુરી થયા બાદ 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો, પરંતુ કામ હજુ 30 ટકા પણ પૂર્ણ નથી થયું. બીજા-ત્રીજા માળે નબળી કામગીરી થતી હોવાનું સામે આવ્યું હતુંઅગાઉ આ ફાયર સ્ટાફ માટે બનવવામા આવતા ક્વાર્ટરના બીજા અને ત્રીજા માળે નબળી કામગીરી થતી હોવાનો મનપાના ઓડિટ વિભાગ દ્વારા કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જે બાદ કમિશનર દ્વારા નબળું કામ દૂર કરી સુધારો કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. 'જે લોકોને બચાવે છે તેમના જ રહેવા માટે કોઈ વ્યવસ્થા નહીં'આ અંગે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું માનું છું કે ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ હોય તો આ છે. એટલા માટે કહું છું કેમ કે, અંદાજે 2.5 વર્ષ પહેલા જે ફાયર સેફ્ટીના સ્ટાફ છે, જે અન્ય લોકોને બચાવવાની કામગીરી કરે છે, તેની રહેવાની વ્યવસ્થા કોઈ નથી. જ્યારે અઢી વર્ષ પહેલા ક્વાર્ટર બનાવવાની શરૂઆત કરી છતાં હજુ સુધી કામ પૂર્ણ નથી થયું. જે તે સમયે મનપાના કમિશનર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. જેમાં બિલ્ડિંગનું જે કામ થઈ રહ્યું છે તે નબળી ગુણવત્તાનું થઈ રહ્યું છે, જેની તપાસ પણ સોંપવામાં આવી હતી. ભાવનગરના કોઈપણ કામ સમય મર્યાદામાં થતા નથીકમનસીબે આ ક્વાર્ટર ઊભા થયા નથી. જે લોકો ભાવનગરના લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે અને શહેરમાં અન્ય અકસ્માત થતા અટકાવવાનું કામ કરી રહ્યા છે, તે ફાયર સ્ટાફના લોકોની રહેવાની અને ક્વાર્ટરની કોઈ વ્યવસ્થા નથી. કમનસીબે આ શાસકો અને અધિકારીઓને ફક્ત પૈસામાં રસ છે, અને ભાવનગરના કોઈપણ કામ સમય મર્યાદામાં થતા નથી. એનું ઉત્તમ ઉદાહરણ હોય તો આ નવા બનવવામાં આવતા ફાયર સ્ટેશનના ક્વાર્ટર છે. માર્ચ 2026 સુધીમાં તમામ કામ પુરા કરી દઈશું- મેયરઆ અંગે મનપાના મેયર ભરત બારડે જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે જે મકાનો બની રહ્યા છે, તે ભાવનગર ફાયર સ્ટેશનની બાજુમાં બની રહ્યા છે. જેમાં 15 ક્વાર્ટરો છે અને આગામી માર્ચ 2026 સુધીમાં પૂરા કરી દેવાના છીએ. થોડો વિલંબ થયો છે, પણ સારી ક્વોલિટીમાં અને સારી વસ્તુઓથી બનાવવા છે, જેથી થોડી ધીમી ગતિએ કામ થયું હતું. અત્યારે હું પોતે નિરીક્ષણ કરી રહ્યો છું, ઝડપથી કાર્ય પૂર્ણ થાય અને કર્મચારીને સંપૂર્ણ સગવડ મળે તે જ મારો ઉદ્દેશ્ય છે. જ્યારે પણ કોઈ દુર્ઘટના બને અને કર્મચારીઓ ફાયર સ્ટેશનની બાજુમાં રહેતા હોય તો ત્વરિત બનાવ સ્થળ પર પહોંચી શકે અને ભાવનગરના લોકો પરેશાન ઓછા થાય. એ માટે અમે આ સગવડ કરવા જઈ રહ્યા છીએ. 'કોઈપણ વ્યક્તિએ પુરાવા સાથે વિરોધ કરવો જોઈએ'કોંગ્રેસે કરેલા આક્ષેપ મુદ્દે મેયરે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને વિરોધ કરવાનો હક હોય છે. પણ કોઈપણ વ્યક્તિએ પુરાવા સાથે વિરોધ કરવો જોઈએ. અમે બીજું કંઈ નથી કહેતા પણ કોંગ્રેસે કરેલા આક્ષેપો પાયા વિહોણા છે તે તમને જણાવીએ છીએ.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:31 pm

પોલીસકર્મી દ્વારા પત્નીની હત્યાનો કેસ:છોટાઉદેપુર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

છોટાઉદેપુર કોર્ટે પત્નીની હત્યાના કેસમાં પોલીસકર્મીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના કદવાલ તાલુકાના ભીખાપુરા ગામે બની હતી, જ્યાં આરોપીએ એસ.ટી. બસમાં ઘૂસીને તેની કંડક્ટર પત્નીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. આરોપી અમૃતભાઈ લાલજીભાઈ રાઠવા, જે કંડા, તા. જેતપુર પાવી (હાલ કદવાલ તાલુકો) ના રહેવાસી છે, તેઓ સુરત ખાતે પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેમની પત્ની એસ.ટી. બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી હતી. અમૃતભાઈને પોતાની પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા હતી. આ શંકાને કારણે, ગત તા. 20 ડિસેમ્બર 2022 ના રોજ બપોરના સમયે, જ્યારે તેમની પત્ની ફરજ પર હતી, ત્યારે તેઓ અચાનક બસમાં પહોંચી ગયા હતા. તેમણે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે પત્નીને ગળા અને છાતીના ભાગે ઘા મારીને નિર્મમ હત્યા કરી હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને કેસ છોટાઉદેપુર કોર્ટમાં ચાલ્યો હતો.સરકારી વકીલ સોનલબેન દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખીને મુખ્ય સેશન્સ જજ સુનિલ એમ. ટાંક, છોટાઉદેપુરે આરોપી અમૃતભાઈ રાઠવાને આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે આરોપીને રૂપિયા 25,000 નો દંડ પણ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરવામાં આવે તો, આરોપીને વધુ એક વર્ષની સજા ભોગવવી પડશે. અમૃતભાઈ રાઠવા હાલમાં સુરત શહેરના જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:25 pm

પોરબંદરની આર્યકન્યા કોલેજે જૂનાગઢની ડો. સુભાષ કોલેજની મુલાકાત લીધી:અંગ્રેજી વિભાગના અધ્યાપકો-વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે પહોંચ્યા

પોરબંદરની આર્યકન્યા ગુરુકુળ મહિલા કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ જૂનાગઢની ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન કરવાનો હતો. ડો. સુભાષ કોલેજ ખાતે મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડો. નરેશ સોલંકીએ કર્યું હતું. પોરબંદરથી આવેલી શૈક્ષણિક ટીમમાં અંગ્રેજી વિભાગના અધ્યાપકો ડો. કેતકી પંડયા, ડો. નયન ટાંક, ડો. અરફાત સૈયદ અને પ્રો. અદિતિ દવે તેમજ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. કોલેજના પ્રિન્સિપાલ બલરામ ચાવડાએ સૌને આવકારી સંસ્થાનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો. મુલાકાત દરમિયાન બંને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે સાંસ્કૃતિક વાર્તાલાપ અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા. ડો. કેતકી પંડયાએ પોતાના ઉદબોધનમાં અંગ્રેજી ભાષાનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે પ્રભાવક શૈલીમાં વાત કરી હતી. ડો. નયન ટાંકે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી દીકરીઓ કઈ રીતે અભ્યાસમાં આગળ વધી શકે અને આત્મનિર્ભર બની શકે તે અંગે મનનીય વિચારો રજૂ કર્યા હતા. ડો. મહેશ કિકાણીએ રાજરત્નશ્રી નાનજી કાલિદાસ મહેતા દ્વારા સ્થાપિત ઐતિહાસિક આર્ય કન્યા ગુરુકુળ સંસ્થાનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. આનાથી બંને કોલેજના વિદ્યાર્થીઓ એકબીજાના ઇતિહાસ, કાર્યો અને કાર્યક્રમોથી પરિચિત થયા હતા. પોરબંદરની ટીમે ડો. સુભાષ કોલેજના વિદ્યાર્થીઓને તેમની સંસ્થાની મુલાકાત લેવા ભાવભર્યું નિમંત્રણ પણ પાઠવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. હીરા રાજવાણીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ વિદ્યાર્થીની સંજના વાળાએ કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી જવાહર ચાવડાએ આવા શૈક્ષણિક અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષના કાર્યક્રમો યોજવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:23 pm

ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘે પ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન:ઉત્તર ગુજરાત ઝોન દ્વારા હિંમતનગરમાં 27-28 ડિસેમ્બરે યોજાશે મેચો

ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘના ઉત્તર ગુજરાત ઝોન દ્વારા હિંમતનગરમાં પ્રથમવાર ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 27 અને 28 ડિસેમ્બરના રોજ યોજાશે. હિંમતનગર ડિવિઝન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં પુરુષોની 12 ટીમો, જેમાં કુલ 144 ખેલાડીઓ ભાગ લેશે. આ ઉપરાંત, મહિલાઓની 4 ટીમો પણ ભાગ લેશે, જેમાં કુલ 48 ખેલાડીઓનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:20 pm

જૂનાગઢ અંધ કન્યા છાત્રાલયની દીકરીઓનું B.Ed.માં ઝળહળતું પરિણામ:ત્રીજા સેમેસ્ટરમાં ઉચ્ચ ગુણ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું

જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ બી.એડ. અભ્યાસક્રમમાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળની આદિત્ય બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી છ અંધ દીકરીઓએ ત્રીજા સેમેસ્ટરમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા છે. ત્રીજા સેમેસ્ટરમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓમાં વાળા અસ્મિતા માવજી (97.76%), વાળા દયાબેન માવજી (97.76%), ચુડાસમા કિંજલબેન (97.76%), ભીલ કાજલ (97.60%) અને કાથડ શિલ્પા (97.60%) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બી.એડ.ના ચોથા સેમેસ્ટરમાં બોખાણી રેખા ડુંગરે 84% ગુણ સાથે સફળતા મેળવી છે. પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ, જૂનાગઢ છેલ્લા 20 વર્ષથી અંધજનો માટે સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા ધોરણ આઠથી માંડીને કોલેજ, બી.એડ., એમ.એ., કમ્પ્યુટર, રસોઈ, સંગીત સહિત વિવિધ કારકિર્દી ઘડવામાં આવે છે. આ ઝળહળતા પરિણામનો શ્રેય દાતા ભાવિન છત્રાળાને જાય છે. કે. જે. છત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બી.એડ. કોલેજની ફી ભરવામાં આવે છે, જેના માટે છત્રાળા પરિવારનો સર્વે ટ્રસ્ટીઓ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ બદલ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય સંસ્થાના પ્રમુખ મનસુખ વાજા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી, ટ્રસ્ટીઓ અરવિંદભાઈ મારડિયા, કિરીટભાઈ સંઘવી, ડો. ચીખલીયા સાહેબ, બટુક બાપુ, વલ્લભ ચૌહાણ, શાંતા બેસ, સંતોષ મુદ્રા, કિરણ ડાંગર, નીરુ કાંબલીયા, મીના ચગ, કમલેશ પંડ્યા, અલ્પેશ મારડિયા, દેવીદાસ નેનસાણી તેમજ સેવાભાવી કાર્યકરો ચંપક જેઠવા અને પ્રવીણ જોશી દ્વારા દીકરીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સર્વેએ દીકરીઓ પોતાની કારકિર્દી બનાવી પ્રગતિના શિખરો સર કરે અને સંસ્થા તથા સમાજનું ગૌરવ વધારે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:18 pm

પ્રિ. મહેતા: ભારતને વિશ્વગુરુ બનવા માનવ અધિકાર પાલન અનિવાર્ય:આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ પર H.A. કોલેજમાં વક્તવ્ય

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. 'માનવ અધિકારો: પરિકલ્પના કે વાસ્તવિકતા?' વિષય પર યોજાયેલા આ કાર્યક્રમમાં સર એલ.એ. શાહ લો કોલેજના પ્રિન્સિપાલ ઋષિકેશ મહેતાએ જણાવ્યું હતું કે ભારતને વિશ્વગુરુ બનવા માટે દેશમાં માનવ અધિકારોનું સંપૂર્ણ પાલન અનિવાર્ય છે. પ્રિન્સિપાલ મહેતાએ ભારપૂર્વક કહ્યું કે દરેક વ્યક્તિને સમયસર અને સાચો ન્યાય મળવો જોઈએ, તેમજ તેઓ સંપૂર્ણ સન્માન સાથે જીવન જીવી શકે તેવું વાતાવરણ હોવું જોઈએ. તેમણે માનવ અધિકારોના પાલનને રાષ્ટ્રના વિકાસ માટે મૂળભૂત ગણાવ્યું હતું. આ પ્રસંગે એચ.એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે આદર્શ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક નાગરિકને સલામતી, શાંતિ, સ્વતંત્રતા, સમાનતા અને સંપૂર્ણ અધિકારો આપવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ મૂળભૂત સિદ્ધાંતો વિના કોઈ પણ સમાજ પ્રગતિ કરી શકતો નથી. પ્રાથમિક જરૂરિયાતો પૂરી થયા બાદ વાણી સ્વાતંત્ર્ય, કોઈપણ ધર્મમાં આસ્થા રાખવાની સ્વતંત્રતા, કામ કરવાની સ્વતંત્રતા અને શિક્ષણ મેળવવાના અધિકારો પણ નાગરિકોને મળવા જોઈએ. તેમણે ઉમેર્યું કે જીવન જીવવા માટે શુદ્ધ પાણી, તંદુરસ્ત વાતાવરણ અને ફળદ્રુપ જમીન પણ દરેક નાગરિકનો અધિકાર છે. કોઈપણ પ્રકારના શોષણ, અસમાનતા કે અપમાન વગરનો સમાજ જ ભારતને વિશ્વગુરુ બનાવી શકે છે. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. અનુરાધા પાગેદારે કર્યું હતું. આ વક્તવ્યમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે માનવ અધિકારોના મહત્વ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:13 pm

શાળામાં વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી:બાળકોને તેમના હકો અને ફરજો વિશે માર્ગદર્શન અપાયું

શ્રી રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા નંબર 295માં વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોને માનવ અધિકારો વિશે સચોટ અને સરળ સમજ આપવાનો હતો. શાળાના મુખ્ય શિક્ષક પંકજભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અને શિક્ષિકા સાવિત્રીબેનના વિશેષ આયોજનથી પ્રાર્થના સંમેલન દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના 800 બાળકો અને 35 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, બાળકોને માનવ અધિકાર દિવસ કોને કહેવાય અને શા માટે ઉજવવામાં આવે છે તે વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી. સુંદર વક્તવ્યો અને પ્રોજેક્ટ દ્વારા બાળકોને નાગરિક તરીકેની ફરજો અને મૂળભૂત હકો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન મળ્યું. દરેક બાળકને તેના તમામ હકો વિશે સમજ આપવામાં આવી, જેથી તેઓ સભાન નાગરિક બની શકે. શિક્ષક સંજયભાઈ તેમજ આચાર્ય પંકજભાઈ ત્રિવેદીએ પ્રોત્સાહક અને જ્ઞાનવર્ધક વક્તવ્યો આપ્યા. આચાર્યશ્રીએ બાળકોને તેમના હકોનો યોગ્ય ઉપયોગ કરવા અને ફરજોનું પાલન કરવા પ્રેરણા આપી. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અત્યંત જ્ઞાનપ્રદ અને પ્રેરણાદાયી બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:11 pm

દીવાન-બલ્લુભાઈ શાળાઓનો ચોથો રમતોત્સવ 'Just Win!' સંપન્ન:શિક્ષણમંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં બે દિવસીય કાર્યક્રમ યોજાયો

અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત દીવાન-બલ્લુભાઈની આઠ શાળાઓનો ચોથો રમતોત્સવ 'Just Win! 2025' યોજાયો હતો. બે દિવસીય આ કાર્યક્રમમાં કાંકરિયા, રાજનગર અને પાલડી સ્થિત ગુજરાતી-અંગ્રેજી માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવના ઉદઘાટન સમારોહમાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા મુખ્ય ઉદઘાટક તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલ રાજપૂત, શાળા ટ્રસ્ટના ચેરમેન ડૉ. હેમાંગ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી અમિતાભ ઠાકોર, ટ્રસ્ટીઓ અરુણ ચતુર્વેદી, કૌશલ ઠાકોર, વૈશલ ઠાકોર અને ડૉ. સિરાલી મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં આઠેય શાળાઓમાંથી પસંદ કરાયેલા કુલ 1724 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઍથ્લેટિક્સ, ટીમ ગેમ્સ અને કુશળતા આધારિત 20થી વધુ રમતોમાં ખેલાડીઓએ પોતાની રમતગમતની કુશળતા, ટીમ સ્પિરિટ અને રમતસંસ્કૃતિના મૂલ્યોનું પ્રદર્શન કર્યું હતું. રમતોત્સવને સફળ બનાવવા માટે આઠેય શાળાના આચાર્યો, કો-ઓર્ડિનેટરો, વ્યાયામ શિક્ષકો, તમામ કર્મચારીઓ અને સેવક ભાઈઓ-બહેનોએ સક્રિય યોગદાન આપ્યું હતું. તેમનો સંકલિત પ્રયાસ અને સમર્પણ આ કાર્યક્રમની સફળતાનો મુખ્ય આધાર બન્યા હતા. રમતોત્સવના સમાપન સમારોહમાં વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને કુલ 690 મેડલ, 23 ટ્રૉફી અને 1724 પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાળકોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવામાં સફળ રહ્યો.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:08 pm

માતાપિતાના ઉપકારને ક્યારેય ભૂલશો નહીં:સાધુ પ્રેમવત્સલદાસજીએ માતૃ-પિતૃ સેવા પર ભાર મૂક્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ માતાપિતાના ઉપકારને ક્યારેય ન ભૂલવા અને તેમની સેવા કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તે શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં શીખવ્યું છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીના 139મા શ્લોકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, માતાપિતાની સેવા કરવી જોઈએ. 'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' એ આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે સંતાનો લાચાર હતા, ત્યારે માતાપિતાએ તેમને સાચવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે, જે માતાપિતાએ રોટલો, ઓટલો અને જીવન આપ્યું, તેમને વૃદ્ધાવસ્થામાં સંતાનો શા માટે ઘરડાંઘરમાં મૂકી આવે છે? તેમણે કૂતરા જેવા પ્રાણીની વફાદારીનું ઉદાહરણ આપતા કહ્યું કે, રોટલો આપનાર માલિક પ્રત્યે કૂતરો પણ વફાદાર રહે છે, તો મનુષ્ય પોતાના જન્મદાતા પ્રત્યે શા માટે વફાદાર ન રહે? પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું કે, જે સંતાનો માતાપિતાની આગળ ઝૂકે છે, તેમને દુનિયામાં કોઈ તાકાત ઝુકાવી કે રોકી શકતી નથી. તેમણે કહ્યું કે, જો તમે માતાપિતાની સેવા કરશો, તો તેમના આશીર્વાદ તમારી ઉપર ઉતરશે અને તમે જેવું જીવન ઇચ્છો છો તેવું પ્રાપ્ત કરી શકશો. માતાની મમતા અને પિતાની ક્ષમતાનો સમન્વય એટલે તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે જ રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:03 pm

ગુજરાતની ચૂંટણીઓમાં 14% વોટ ચોરી થતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:ચૂંટણીપંચના આંકડા જાહેર કરી 74 લાખથી વધુ વોટ ચોરીનો દાવો કર્યો, 14 ડિસેમ્બરે દિલ્લીમાં મહારેલી

રાજ્યમાં ચાલી રહેલી SIRની કામગીરીના આંકડા જાહેર કરી કોંગ્રેસે રાજ્યની ચૂંટણીઓમાં 14 ટકા જેટલા વોટની ચોરી થતી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે રાજ્યમાં SIRની કામગીરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં 18,03,050 જેટલા મતદારો મૃત્યુ પામેલા હોવાનું સામે આવ્યું હતું. તેમજ ઓળખ ન થઈ હોય તેવા 10,10,243 મતદારો અને કાયમી સ્થળાંતર થયા હોય તેવા 40,37,187 મતદારો એટલે કુલ 74,29,285 મતદારોના ફોર્મ જમા ન થયા હોવાનું સામે આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, 74 લાખથી વધુ વોટની ચોરી રાજ્યની તમામ ચૂંટણીઓમાં થઈ છે, જેથી કોંગ્રેસે ગ કરી છે કે, ડુપ્લીકેટ મતદારોને શોધીને તેની યાદી જાહેર કરવામાં આવે. તેમજ વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ 14 ડિસેમ્બરના દિલ્લીમાં મહારેલી યોજશે. ‘વોટ ચોર ગાદી છોડ’ના નારા લાગ્યા હતાં રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી SIR એટલે મતદાર યાદી સુધારણા માટેની કામગીરી ચાલી રહી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. SIR કામગીરી ચાલુ થઈ ત્યારથી જ કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃવત તેમાં ગોટાળા થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ ‘વોટ ચોર ગાદી છોડ’ના નારા સાથે અલગ-અલગ આંદોલનના કાર્યક્રમ સરકાર અને ચૂંટણીપંચ સામે કરવામાં આવ્યા હતા. તેમજ રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા આપીને વોટ ચોરી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. હયાત નથી તેમની સહી કરીને ફોર્મ BLOને સોંપાયાનો આક્ષેપજે બાદ ગુજરાતમાં SIR કામગીરી દરમિયાન રાજ્યની ચૂંટણીઓમાં પણ વોટની ચોરી થતી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના ચૂંટણીપંચ દ્વારા જાહેર કરેલા આંડકા પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યની ચૂંટણીઓમાં 14 ટકા જેટલા એટલે કે, 74 લાખ કરતા વધુના વોટની ચોરી થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, SIRની કામગીરી દરમિયાન જે લોકોના મૃત્યુ થયા છે, જે લોકોની ઓળખ થઈ નથી, જે લોકોનું સ્થળાંતર થયું છે તે લોકોના વોટ રાજ્યની અલગ-અલગ ચૂંટણીમાં થયા છે. તેમજ જે હયાત નથી તેમની સહી કરીને તેમના ફોર્મ પણ BLOને સોંપવામાં આવ્યા હોવાનો દાવો કરી તેની તપાસ કરવાની પણ કોંગ્રેસે માગ કરી છે. વોટ ચોરી મુદે કોંગ્રેસ દ્વારા મહારેલીનું આયોજન14 ડિસેમ્બરના બપોરે 1 વાગ્યે દિલ્હીમાં ‘વોટ ચોર ગાદી છોડ’ના નારા સાથે મહારેલી યોજવામાં આવશે, જેમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ હાજર રહેવાના છે. તેમજ દેશભરમાથી અને ગુજરાતમાંથી પણ કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો મહારેલી માટે જવાના છે. કોંગ્રેસ વોટ ચોરી મુદ્દે મહારેલી કરીને સરકાર સામે અવાજ ઉઠાવશે. વોટ ચોરીના પુરાવા અનેક વખત આપ્યા છતાં પગલા લેવાયા નથીઃ પ્રદેશ પ્રમુખગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણીપંચની તટસ્થતા, નિષ્પક્ષતા, પ્રમાણિકતા અને પારદર્શકતા પર વખત સવાલો ઉડતા આવ્યા છે. વખત તો વખત આક્ષેપો થતા આવ્યા છે અને જેના સમર્થનમાં પુરાવા પણ અનેક વખત અપાવ્યા તેમ છતાં કોઈ પગલા લેવામાં નથી. આખા દેશના લોકોના મનમાં શંકા હતી શું ખરેખર વોટની ચોરી કરવામાં થાય છે? આખો ચૂંટણીપંચ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું જે વોટ ચોરીનું નેટવર્ક હતું તેને ખુલ્લું પાડવાનું કામ રાહુલ ગાંધીએ કહ્યું હતું. કર્ણાટકમાં વોટ ચોરી થતી હતી, તેના પુરાવા આપ્યા હતાં, તેના પર ચૂંટણીપંચ ચુપ હતું આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું હોય એમ ભાજપના નેતાઓ આક્ષેપ કરતા હતા, જેને લઈને આખા દેશના લોકોએ સમર્થન આપ્યું હતું. બીજી કોન્ફરન્સ કરીને હરિયાણાની મતદાર યાદી વખતે ફૂટ્યો. વિદેશી એક્ટ્રેસના નામ 22 વખત યાદીમાં જોવા મળ્યા જે આખી દુનિયાએ જોયું. ‘સી.આર. પાટીલની કોલસભા બેઠકમાં 60 લાખ મતદારો ખોટા’વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખા દેશના લોકો ધીમે-ધીમે અમારી સાથે જોડાયા છે. ગુજરાતમાં પણ તમે બધાએ જોયું છે કે જે રીતે આ વોટ ચોરી થઈ છે અને ખુલ્લી પાડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા આપ્યા હતા કે, નવસારી લોકસભા બેઠક કે જ્યાંથી સાંસદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ આવે છે, તેમના મત ક્ષેત્ર 84 વિધાનસભા વિસ્તારના 40 ટકા જેટલા મતની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 12 ટકા મતદારો એટલે કે, 60 લાખ મતદારો ખોટા હોવાનું કહ્યું હતું. જે આંકડા અમે આપ્યા હતા તે આંકડા આજે ચૂંટણી પંચે જાહેર કરેલી યાદીના સમાન જોવા મળી રહ્યા છે અમારી જે વાત હતી એના કરતાં પણ વધારે વોટ ચોરી થઈ હોવાનું આજે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે. ‘એક વ્યક્તિ અનેક વોટ, ભાજપને ચૂંટણીપંચની મદદ’ચૂંટણીપંચના આંકડા જાહેર કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 18,03,050 મતદારો એવા છે કે જે મૃત્યુ પામેલા છે. 10,10,213 મતદારો એવા છે તેની ઓળખ થઈ શકી નથી. 40,37,187 મતદારો એવા છે કે જે લોકોનું કાયમી સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુલ મતદારોના ફોર્મ એકત્ર ન થયા હોય તેવા 74,29,285 મતદારો હોવાનું સામે છે. અત્યાર સુધી આ મતદાર યાદીમાં નામો ચાલ્યા છે. એક વ્યક્તિ એક વોટનો અધિકાર હોય છે, એના બદલે એક વ્યક્તિ અનેક વોટ એ રીતે ગુજરાતમાં ચૂંટણીપંચની મદદથી ભાજપ આટલા વર્ષો સુધી કામ કરે છે. ‘ટેકનોલોજીના યુગમાં સરકાર ડુપ્લીકેટ મતદારો શોધવાનું કોઈ સૉફ્ટવેર નથી’ વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લેખિતમાં રજૂઆત કરી છે કે મોટી સંખ્યામાં ડુપ્લીકેટ મતદારો છે કે ગુજરાતમાં જ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેતા હોય ને બંને જગ્યામાં એના મતો આજે પણ છે. સૌરાષ્ટ્રથી કોઈ સુરત રહેવા ગયો હોય તેના મત સૌરાષ્ટ્રમાં પણ છે, સુરતમાં પણ છે, આખા ગુજરાતમાં છે. બીજા રાજ્યોના રહેવાસીઓના મત એના રાજ્યમાં પણ છે અને ગુજરાતમાં પણ છે. આટલી ટેકનોલોજીના યુગમાં સરકાર પાસે કે ચૂંટણી પાસે ડુપ્લીકેટ મતદારો શોધવાનું કોઈ સૉફ્ટવેર નથી. જેથી અમારી માંગણી છે જેટલા પણ ડુપ્લીકેટ વોટર છે તેને શોધી કાઢવામાં આવે અને તેની યાદી જાહેર કરવામાં આવે. ‘રાહુલ ગાંધી સહિતના નેતાઓ મહારેલીમાં દિલ્લી ખાતે હાજર રહેશે’વોટ ચોરી મુદ્દે મહારેલીને લઈને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 14 ડિસેમ્બરના રોજ દિલ્લી રામ મેદાનમાં વોટ ચોર ગાદી છોડ મુદ્દે મહારેલી યોજવામાં આવશે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ મહારેલીમાં દિલ્લી ખાતે હાજર રહેવાના છે. જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તા સહિત નાગરિકો પણ હાજર રહેવાના છે. બપોરે 1.00 વાગ્યે વોટ ચોરોને ખુલ્લા પાડવા માટે મહારેલી યોજવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 pm

શાળામાં યુનિસેફ સ્થાપના દિવસની ઉજવણી:બાળ અધિકારો અને કાર્યો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા ક્રમાંક 295 (પી.એમ. ) ખાતે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને યુનિસેફની વૈશ્વિક કામગીરીથી તેમને માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાર્થના ખંડમાં થઈ હતી, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ એકત્રિત થયા હતા. શાળાના ઉપશિક્ષિકા ચેતના પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમણે તૈયાર કરેલા ચાર્ટ્સ અને પોસ્ટર્સ દ્વારા બાળકોને યુનિસેફની કામગીરી વિશે વિસ્તૃત સમજ આપી હતી. ચેતનાબેને સરળ ભાષામાં સમજાવ્યું કે યુનિસેફ કેવી રીતે વિશ્વના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે રસીકરણ, પોષણક્ષમ આહાર, સ્વચ્છ પાણી અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કાર્ય કરે છે. આ દ્રશ્ય-શ્રાવ્ય માહિતીને કારણે વિદ્યાર્થીઓને વિષયમાં ઊંડો રસ પડ્યો હતો. વિદ્યાર્થીઓએ મેળવેલા જ્ઞાનની ચકાસણી કરવા અને તેમનામાં તંદુરસ્ત હરીફાઈની ભાવના જાગે તે હેતુથી એક ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિસેફનો ઇતિહાસ, તેના કાર્યો અને બાળ અધિકારોને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે શાળાના મુખ્ય શિક્ષક પંકજ ત્રિવેદીએ ઉદબોધન કર્યું હતું. તેમણે યુનિસેફના ‘દરેક બાળક માટે’ (For Every Child) સૂત્રની સમજ આપતા કહ્યું કે બાળકનો સર્વાંગી વિકાસ એ જ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. તેમણે આયોજન બદલ ચેતના પટેલ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 pm

બોમ્બે મેટલ શાળાના વિદ્યાર્થીઓએ પિકનિકની મજા માણી:પાટણના આનંદેશ્વર મહાદેવ મંદિર અને સહસ્ત્ર વનની મુલાકાત લીધી

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા દ્વારા તાજેતરમાં બાલ મંદિર અને ધોરણ ૧ થી 8 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પિકનિકનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સામાજિકતા, સહકારની ભાવના, પ્રકૃતિ પ્રત્યેનો આભારભાવ અને આનંદમય શૈક્ષણિક અનુભવો પ્રદાન કરવાનો હતો. પિકનિક માટે શાળાના તમામ બાળકોને સવારે 8 વાગ્યે શાળામાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને પાટણની પવિત્ર નદી કિનારે આવેલા શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર લઈ જવામાં આવ્યા. શાળાના સ્ટાફ સાથે બાળકોએ મહાદેવજીની આરતી કરી દર્શનનો લાભ લીધો હતો. મંદિર દર્શન બાદ બાળકોએ બાજુમાં આવેલા સહસ્ત્ર વનની મુલાકાત લીધી હતી. અહીં તેમને વૃક્ષો અને 'વૃક્ષ નારાયણ ભગવાન' વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાળકોને વૃક્ષોનું આપણા જીવનમાં શું મહત્વ છે અને તેનું જતન કેવી રીતે કરવું જોઈએ તે અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:57 pm

વડોદરામાં આવાસ યોજનાના 2709 મકાનોની ફાળવણીનો ડ્રો યોજાયો:પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહમાં વિધાનસભાના મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળના શહેરના બિલ, ભાયલી, સેવાસી, અટલાદરા અને કલાલી વિસ્તારમાં નવા 2,709 મકાનો અને સાત દુકાનોની ફાળવણી અંગેનો ડ્રો શહેરના આજવા રોડ ખાતે આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાયો હતો. જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લની ઉપસ્થિતિમાં આ ડ્રો કરવામાં આવ્યો હતો. 'વધુ 3000 આવાસોને ફેસવાઇઝ ફાળવાશે'આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી પેન્ડિંગ કામ આજે પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં 2700થી વધુ નાગરિકોને આજે આવાસનો ડ્રો કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં જ્યારે પણ મકાનો રેડી થશે ત્યારે તેઓને એલર્ટમેન્ટ લેટર આપવામાં આવશે. આવનારા બેથી ત્રણ મહિનામાં વધુ 3000 જેટલા આવાસો લોકોને ફેસવાઇઝ ફાળવવામાં આવશે. 'સાત આઠ સ્કીમ સમસ્યાના કારણે અટકેલ'આ વર્ષનું અમારું ટાર્ગેટ 30 હજાર આવાસ આપવાનું છે. એટલે અમે અર્બન ડેવલપમેન્ટ સાથે વર્ષ 2025-26માં 30,000 જેટલો ટાર્ગેટ છે તે પૂર્ણ કરીશું. આગામી સમયમાં વિવિધ સ્કીમોમાં હેઠળ સાત આઠ આવા સ્કીમ નાના મોટી સમસ્યાના કારણે અટકેલ છે તને પણ અમે પૂર્ણ કરીશું. 'છ સાત મહિનામાં મળી જાય તેવું આયોજન'વધુમાં કહ્યું કે, ફાળવવાના આવાસો બાબતે તમામ જગ્યાએ વિઝિટ કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં બધાને વિશ્વાસમાં લઈ જે કઈ રિપેર કરવાની છે તે બાબત ધ્યાન પર લેવામાં આવી છે. લોકોનો આવનાર છ સાત મહિનામાં મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:56 pm

LJIMCમાં મીડિયા ઇકોનોમી પર સેશન:જય થદેશ્વરે વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા માટે પ્રેરિત કર્યા

અમદાવાદ: એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ (LJIMC) દ્વારા મીડિયા ઇકોનોમી અને આંત્રપ્રેન્યોરશિપ વિષય પર એક ગેસ્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જાણીતા મીડિયા પ્રોફેશનલ અને ઉદ્યોગસાહસિક જય થદેશ્વર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જય થદેશ્વરે પોતાની યાત્રા વિશે વાત કરી અને જણાવ્યું કે મીડિયા લોકોના વિચારોને પ્રભાવિત કરતું તથા બ્રાન્ડ્સને મજબૂત બનાવતું એક શક્તિશાળી માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે બ્રાન્ડ્સ લોકોનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરે છે, તેથી વ્યૂહાત્મક સંચાર મહત્વપૂર્ણ બન્યો છે. તેમણે બદલાતા મીડિયા લેન્ડસ્કેપ વિશે વિગતવાર ચર્ચા કરી. તેમણે વિદ્યાર્થીઓને Niche ક્ષેત્રમાં કામ કરવા પ્રોત્સાહિત કર્યા, જેથી તેઓ પોતાનું વિશેષ સ્થાન બનાવી શકે. થદેશ્વરે ભારપૂર્વક જણાવ્યું કે ડિજિટલ મીડિયાની કોઈ સીમા નથી અને ડિજિટલ જાહેરાતનું મહત્વ વધી રહ્યું છે. સેશનનો એક મુખ્ય મુદ્દો ક્રિએટર ઇકોનોમી રહ્યો. તેમણે વિદ્યાર્થીઓને કન્ટેન્ટ ક્રિએશનને ઉદ્યોગસાહસિક તક તરીકે જોવાની સલાહ આપી. ઉદ્યોગસાહસિકતા પર ચર્ચા કરતા, તેમણે સમસ્યા આધારિત ઉકેલો (Solutions) બનાવવા પર ભાર મૂક્યો. જય થદેશ્વરે સફળતા માટેના માઈન્ડસેટના પાયા સમજાવ્યા, જેમાં ઓનરશીપ લેવી, લાંબા સમયની પ્રતિબદ્ધતા અને મહેનત પ્રત્યે પ્રેમનો સમાવેશ થાય છે. તેમણે માનસિક મજબૂતી વિકસાવવા માટે દરરોજ એક અસહજ કાર્ય કરવાની સલાહ પણ આપી. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપતી વખતે, તેમણે કોમ્યુનિકેશન સ્કીલના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે હકારાત્મક અભિગમ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વ્યક્તિને ભીડથી અલગ ઓળખ આપે છે. સેશનના અંતે, તેમણે GenZ પેઢીને શક્તિશાળી અને અનુકૂળ જનરેશન તરીકે વર્ણવી. તેમણે જણાવ્યું કે યોગ્ય દૃષ્ટિકોણ અને શિસ્ત સાથે આ યુવા પેઢી મીડિયા અને ઉદ્યોગસાહસિકતાનું ભવિષ્ય ઘડી શકે છે. LJIMC ના ડાયરેક્ટર ડૉ. દિવ્યા સોનીના માર્ગદર્શન હેઠળ આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓ માટે માહિતીપ્રદ રહ્યું.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:53 pm

વૈષ્ણોદેવી યુવક મંડળ દ્વારા નવી યાત્રાનું આયોજન:જગન્નાથ પૂરી, કોલકાતા, ગંગાસાગર અને ચંપારણનો સમાવેશ

વૈષ્ણોદેવી યુવક મંડળ, ઈસનપુર પરિવાર દ્વારા જગન્નાથ પૂરી, કોલકાતા, ગંગાસાગર અને ચંપારણની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણોદેવી યુવક મંડળ, ઈસનપુર પરિવાર 2018થી દેશના વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રાઓનું આયોજન કરી રહ્યું છે. જેમાં વૈષ્ણોદેવી, ચારધામ (યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદરીનાથ), તુંગનાથ મહાદેવ, નેપાળ પશુપતિનાથ અને અમરનાથ જેવી યાત્રાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજસ્થાનના ખાટુશ્યામ, પુષ્કર અને શેઠ સવારીયા જેવા પવિત્ર મંદિરોની યાત્રાઓ પણ કરાવી છે. આ યાત્રાઓમાં 3000થી વધુ વરિષ્ઠ નાગરિકો, પરિવારો અને બાળકોએ ભાગ લીધો છે અને વિવિધ સ્થળોના દર્શનનો લાભ મેળવ્યો છે. વૈષ્ણોદેવી યુવક મંડળ પરિવારના શ્રી જીતેન્દ્ર યાદવ સાથે કાર્યકર્તાઓ શ્રી કરણ યાદવ, આશિષ પટેલ, અનુજ પટેલ, જય પ્રજાપતિ, નીલેશ વ્યાસ, દીપેન યાદવ, યશ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, અરવિંદભાઈ ઠક્કર, દીપકભાઈ, કલ્પેશ ઠક્કર, સોનલબેન, ભાવિનીબેન, સેનહાબેન અને ખુશી યાદવ સહિતની ટીમે યાત્રા દરમિયાન સેવા આપી હતી. વૈષ્ણોદેવી યુવક મંડળ, ઈસનપુર પરિવાર અને ગુરુજી ટ્રાવેલ્સ ભવિષ્યમાં પણ આવા ધાર્મિક સ્થળોની યાત્રાઓનું આયોજન કરવાનું ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:50 pm

JNV પ્રવેશ પરીક્ષા માર્ગદર્શન મીટિંગ યોજાઈ:હરણીના જય અંબે વિદ્યાલય ખાતે આયોજન કરાયું

વડોદરા જિલ્લાના હરણી સ્થિત જય અંબે વિદ્યાલયના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે 10 ડિસેમ્બર, 2025ના રોજ જવાહર નવોદય વિદ્યાલય (JNV) પ્રવેશ પરીક્ષા સંબંધિત એક માર્ગદર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી JNV પ્રવેશ પરીક્ષાની તૈયારી, પ્રક્રિયા અને નિયમો વિશે શાળાના આચાર્યો અને સુપરવાઇઝરોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા શિક્ષણધિકારી કચેરીના પ્રતિનિધિઓ, જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય અને તાલુકા કક્ષાના શિક્ષણ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓમાં શ્રીમતી મીતાબેન જાદવ (શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણધિકારી કચેરી, વડોદરા અને JNV પ્રવેશ પરીક્ષાના નોડલ અધિકારી), સંજય રાણા (મદદનીશ શિક્ષણ નિરીક્ષક), એસ. કે. ડામર (આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, સાધી) અને વાઘોડિયા, શિનોર, પાદરાના તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારીઓનો સમાવેશ થાય છે. જય અંબે વિદ્યાલયના આચાર્ય શ્રીમતી પ્રતિક્ષાબેન રાઠોડ અને વિવિધ શાળાના આચાર્યો પણ હાજર રહ્યા હતા. JNV પ્રવેશ પરીક્ષાના નોડલ અધિકારી મીતા જાદવ દ્વારા પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા, ઉમેદવારોની પાત્રતાના માપદંડો અને અરજીપત્રોની ચકાસણી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ખાતરી આપી હતી કે તમામ અરજીઓ નિયમોનુસાર અને સમયસર સબમિટ થાય.જવાહર નવોદય વિદ્યાલય, સાધીના આચાર્ય શ્રી એસ. કે. ડામર દ્વારા JNVની સુવિધાઓ, શૈક્ષણિક માળખું અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આનાથી શિક્ષકો વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકશે. સંજયભાઈ રાણા અને અન્ય અધિકારીઓએ પરીક્ષાના સંચાલન અને વહીવટી વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમાં પરીક્ષા કેન્દ્રો પરની વ્યવસ્થા, સુપરવાઇઝરની ભૂમિકા અને પરીક્ષાના દિવસે અનુસરવાના નિયમોનો સમાવેશ થતો હતો. સુપરવાઈઝર અનિલ રાઠોડ અને ગોયેલભાઈએ પણ તેમના વ્યવહારુ અનુભવોના આધારે જરૂરી સૂચનો કર્યા હતા. જય અંબે વિદ્યાલયના આચાર્ય પ્રતિક્ષા રાઠોડ દ્વારા આયોજન માટે જરૂરી સહકાર અને વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જેનાથી મીટિંગનું સંચાલન સફળતાપૂર્વક થઈ શક્યું. આ મીટિંગમાં હાજર રહેલા તમામ આચાર્યઓને ખાતરી આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળશે અને તેમને કોઈ મુશ્કેલી નહીં પડે. સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો અને પ્રવેશ પરીક્ષા સંબંધિત તમામ શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:40 pm

વાત્સલ્ય સેવા મિત્ર મંડળનો દ્વિતીય સ્થાપના દિવસ ઉજવાયો:પર્યાવરણ સંરક્ષણ માટે 11 વૃક્ષારોપણ કરાયા

વાત્સલ્ય સેવા મિત્ર મંડળે 7 ડિસેમ્બર, 2025ના રોજ તેના દ્વિતીય સ્થાપના દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે 'સેવા પરમો ધર્મ' વિચારધારાને સમર્પિત મંડળ દ્વારા કુલ 11 વૃક્ષારોપણ કરવામાં આવ્યા. આ વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ અને 'હરિત ગુજરાત'ના સંકલ્પને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો. મંડળના તમામ સભ્યોની સક્રિય સહભાગિતાથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. સમાજ સેવા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને, મંડળે ભવિષ્યમાં વધુ સેવા કાર્યો હાથ ધરવાની પ્રતિજ્ઞા લીધી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:36 pm

બરોડા હાઇસ્કુલમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન:બરોડા હાઈસ્કૂલ ONGC ખાતે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો

વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી દ્વારા આયોજિત સંસદ ખેલ મહોત્સવનું બરોડા હાઈસ્કૂલ ONGC ખાતે 8 અને 9 ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ અને ક્રિકેટ જેવી રમતોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, એથ્લેટિક્સમાં 100 મીટર, 200 મીટર અને રિલે રેસ જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. બે દિવસીય આ રમતોત્સવના સમાપન કાર્યક્રમ 9 ડિસેમ્બરના રોજ યોજાયો હતો. જેમાં વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાંસદ ખેલ મહોત્સવમાં શાળાના આચાર્ય ડો. મહેશ પટેલ અને સુપરવાઈઝર યાકુબ શેખ ખાસ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના શિક્ષકોએ પણ બાળકોનો ઉત્સાહ વધારવા માટે જુદી જુદી રમતો રમી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના વ્યાયામ શિક્ષક સુનીલ બારોટ અને અન્ય શિક્ષકો દ્વારા આચાર્ય ડો. મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:33 pm

બરોડા હાઇસ્કુલ ONGCમાં સાયબર ફેસ્ટ યોજાયો:વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચવા જાગૃત કરાયા

બરોડા હાઇસ્કુલ ONGC ખાતે સાયબર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચવા અને સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાનો હતો. ફેસ્ટ દરમિયાન, બાળકોને સાયબર ફ્રોડના વિવિધ પ્રકારો, તે કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જાગૃતિ લાવવા માટે નાટકો અને સંગીત જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને આજકાલ બનતા સાયબર ફ્રોડના પ્રકારો અને તેનાથી બચવા માટે રાખવી પડતી સાવચેતીઓ વિશે ખૂબ જ અસરકારક રીતે સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ડો. મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના કોમ્પ્યુટર શિક્ષક રાજેશ નાગપૂરે, હેમાલી મેડમ અને વિદ્યાર્થીઓએ આ ફેસ્ટને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:30 pm

બરોડા હાઇસ્કુલમાં ત્રિ દિવસીય ગણિત મેળાનું આયોજન:18 ડિસેમ્બરથી શરૂ, ગણિતને રસપ્રદ બનાવવાનો મુખ્ય હેતુ

વડોદરાની બરોડા હાઇસ્કુલમાં 18 ડિસેમ્બરથી ત્રિ-દિવસીય ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટની તમામ શાળાઓ દ્વારા આ વાર્ષિકોત્સવના ભાગરૂપે આયોજિત મેળાનો મુખ્ય ઉદ્દેશ ગણિત વિષયને રસપ્રદ બનાવીને સર્જનાત્મકતા સાથે રોજિંદા જીવનમાં કેવી રીતે સાંકળી શકાય તે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના અન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. આ કાર્યક્રમ 18, 19 અને 20 ડિસેમ્બર દરમિયાન યોજાશે. જેમાં જુનિયર કે.જી.થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓ, પ્રદર્શનો, વર્કશોપ, મૂવી શો, રમતો અને લાઇવ શો રજૂ કરશે. આ ગણિત મેળાની મુલાકાત માટે અનેક માનનીય મહાનુભાવો, ગણિતના નિષ્ણાતો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. બરોડા હાઇસ્કુલ અને બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, આચાર્યો અને શાળાના બાળકો દ્વારા સૌને આ કાર્યક્રમમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:26 pm

વિસલપુર સ્કૂલને 100% SSC પરિણામ બદલ સન્માનિત:અમદાવાદ ગ્રામ્ય કચેરી દ્વારા ડીપીએસ બોપલ ખાતે સન્માન સમારોહ યોજાયો.

વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈ સ્કૂલને તાજેતરમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન સમારોહ 10 ડિસેમ્બર, 2025ના રોજ બુધવારે ડીપીએસ સ્કૂલ, બોપલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ ગ્રામ્ય અને જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો. તેમાં અમદાવાદ ગ્રામ્યના નિવૃત્ત થતા શિક્ષકો, પૂરા પગારમાં નિયમિત થયેલા સરકારી શિક્ષકો અને સમગ્ર જિલ્લામાં 100% પરિણામ પ્રાપ્ત કરનાર શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં રાજ્યના શિક્ષણ પ્રધાન (કેબિનેટ) ડો. પ્રદ્યુમન વાજા, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન આર.આર. વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈ સ્કૂલને તેના એસ.એસ.સી.ના 100% પરિણામ માટે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:22 pm

છોટાઉદેપુરના વર્ધી ગામે 53 વર્ષે 'ગામ સાઈ ઇન્દ' ઉજવાયો:આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાનું ઐતિહાસિક આયોજન

છોટાઉદેપુરના વર્ધી ગામમાં 53 વર્ષના લાંબા ગાળા બાદ આદિવાસી સમાજના પરંપરાગત 'ગામ સાઈ ઇન્દ' ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 'ગામ સાઈ ઇન્દ' એ આદિવાસી સમાજની એક એવી પરંપરા છે જેમાં દેવી-દેવતાઓ, પૂર્વજો અને પ્રકૃતિ માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉત્સવનું આયોજન સામાન્ય રીતે 60 થી 70 વર્ષના લાંબા ગાળા બાદ થાય છે, જેને 'દેવોની પેઢી બદલવાનો' મેળો પણ કહેવાય છે. આ ધાર્મિક વિધિમાં ગામના પૂજારી (બળવા) અને પુંજારા દ્વારા દેવોના નવા ઘોડા અને નવા ખુટનું સ્થાપન કરાય છે. આ પ્રક્રિયા નવી પેઢીમાં દેવતાઓના આશીર્વાદ અને પરંપરાના હસ્તાંતરણનું પ્રતીક માનવામાં આવે છે. 'ગામ સાઈ ઇન્દ'ના મેળામાં વર્ધી ગામના લોકો તેમજ આદિવાસી સમાજના અન્ય વિસ્તારોમાંથી ભક્તો પોતાના પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને જોડાયા હતા. મેળામાં ઢોલ, માંદળ અને તીર કામઠા સાથે આદિવાસીઓએ ઉત્સાહભેર પરંપરાગત નૃત્ય-ગાન કરીને ઉજવણીના માહોલને જીવંત બનાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર વર્ધી ગામ અને આસપાસનો વિસ્તાર આદિવાસી સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયો હતો. આવા ઐતિહાસિક આયોજન દ્વારા નવી પેઢીને પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું જ્ઞાન મળે છે. તે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને પણ મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:21 pm

ધાતરવડી 1 સિંચાઈ યોજના સલાહકાર સમિતિની બેઠક:રાજુલામાં ખેડૂતો સાથે સિંચાઈ મુદ્દે ચર્ચા થઈ

રાજુલા ખાતે ધાતરવડી ૧ સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક ઇરીગેશન ઓફિસ, રાજુલા ખાતે કાર્યપાલક ઇજનેર, જળ સિંચાઈ યોજના, અમરેલીના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ મળી હતી. આ બેઠકમાં સિંચાઈ સલાહકાર બોર્ડના સભ્યો અને સિંચાઈ મંડળીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રમેશભાઈ ડોબરિયા (સરોડિયા), રમેશભાઈ વસોયા (માંડરડી), હકુભાઈ (રાજુલા), રાજાભાઈ (ઝાંઝરડા), ધુસાભાઈ (વડલી), વિનુભાઈ (રાજુલા), દિલીપભાઈ સોજીત્રા (ધારેશ્વર), કાનાભાઈ વાણિયા (રાજુલા), હનુભાઈ (વડલી) અને ધીરુભાઈ (ઝાંઝરડા) જેવા આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, નાયબ કાર્યપાલક ઇજનેર (સિંચાઈ, રાજુલા) કળસરિયા સાહેબ, સેક્શન અધિકારી (રાજુલા) જાનીભાઈ અને બળુભાઈ સહિતના અધિકારીઓ પણ આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:12 pm

વડોદરા ખાણ ખનીજ વિભાગે ચાર ઓવરલોડ ડમ્પર ઝડપ્યા:સાવલીના મોકસી-ભાદરવા રોડ પરથી રેતી ભરેલા વાહનો પકડાયા

વડોદરા ખાણ ખનીજ વિભાગે સાવલી તાલુકાના ભાદરવા ગામ નજીકથી રોડ પરથી રેતી ભરેલા ચાર ઓવરલોડ ડમ્પર ઝડપી પાડ્યા છે. જે કાર્યવાહી આજે બપોરે એક વાગ્યા આસપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા માટે કરવામાં આવી હતી.ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપાયેલા તમામ ડમ્પરને વધુ કાર્યવાહી માટે ભાદરવા પોલીસ મથકે લઈ ગઈ હતી. વિભાગ દ્વારા આ ડમ્પર માલિકો અને ડ્રાઈવરો સામે નિયમોનુસાર યોગ્ય દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:08 pm

સુરતમાં એક વર્ષમાં જ 19 ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી:રાજ ટેક્સટાઇલ માર્કેટના ભયાવહ દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં કાળી રાખ, એક વેપારીની 6 દુકાન સળગી

સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટની બી વિંગમાં લાગેલી આગમાં સાતમા માળ પર આવેલી 14 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આ દુકાનોની અંદર માળીયા બનાવીને રાખવામાં આવેલા ઓવરલોડિંગ કાપડના જથ્થાના કારણે આગ પર કાબુ મેળવતા કલાકો વીતી ગયા હતા. હાલાં બી વિંગમાં વેપારીઓનાં પ્રવેશ પર સદંતર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જો કે, ગઈકાલથી જ ઘટના સ્થળે પહોંચેલા વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી. આજે પણ સવારથી જ મોટી સંખ્યામાં વેપારીઓ માર્કેટ પહોંચ્યા હતા અને લેપટોપ - ચેકબુક - પાસબુક સહિતનો જરૂરી માલ સામાન કાઢવા માટે માર્કેટનાં સંચાલકો સામે રીતસરનાં કાકલુદી કરતાં જોવા મળ્યા હતા. જેને પગલે માર્કેટ સંચાલકો દ્વારા એ અને સી વિંગનાં વેપારીઓને દુકાનમાંથી જરૂરી માલ-સામાન કાઢવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. કાપડનો જથ્થો લિક્વિડ બની ગયોઆ આગના કારણે બિલ્ડીંગના સ્ટ્રક્ચરને પણ નબળું કરી દીધું છે. સાતમા માળ પર આવેલી દુકાનોને ગોડાઉન બનાવીને માલ ભરવામાં આવ્યો હતો. જેના પગલે માળિયાની ગ્રીલ્સ અને દીવાલો પણ તૂટી પડે છે. અંદર કાપડનો જથ્થો લિક્વિડ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એક જ વેપારીની 6 દુકાનો સળગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં વર્ષ 2025માં જ 19 ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. જો કે, માર્કેટનાં બી વિગમાં આવેલ સાતમા માળે ભીષણ આગને પગલે ફાયર વિભાગ દ્વારા આજે સવારથી તકેદારીનાં ભાગરૂપે ત્રણ ટીમો સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે. આગ એટલી હદે ભીષણ હતી કે સાતમા માળે આવેલ ટાઈલ્સ પણ તુટી જવા પામી હતી જ્યારે બીમ કોલમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ પણ વાંચો: 20 લાખ લિટર પાણી અને ફાયરની 34 ગાડીઓએ મહામહેનતે આગ ઓલવી હાલમાં ફાયર વિભાગની ત્રણ ટીમો માર્કેટમાં સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી તકે એફએસએલનાં અધિકારીઓ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લઈને જરૂરી તપાસને અંતે રિપોર્ટ સબમિટ કર્યા બાદ આગનું ખરું કારણ જાણવા મળશે. જો કે, બીજી તરફ પ્રાથમિક તબક્કે વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હોવાને કારણે વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. રાત્રે 2.30 વાગ્યે આગ સંપૂર્ણ કાબૂમાં આવીશહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સ્ટાઈલ માર્કેટમાં 10 ડિસેમ્બર વહેલી સવારે લિફ્ટના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ જોતજોતામાં સાતમા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વહેલી સવારની લાગેલી આગ મોડી રાત સુધી પણ કાબૂમાં આવી ન હતી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા 11ડિસેમ્બરના રાતના 2.30 થઈ ગયા હતા. ફાયર વિભાગની આગ પર કાબુ મેળવવાની કામગીરી દરમિયાન 25 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો. બીજી તરફ આજે વહેલી સવાર સુધી કુલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ ફાયર વિભાગ દ્વારા માર્કેટમાં જ્યાં સુધી ઈલેક્ટ્રીક ઈન્સ્પેકશન અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટી રિપોર્ટ નહી આવે ત્યાં સુધી કામકાજ બંધ રાખવા માટે સુચના આપવામાં આવી છે. ક્રિકેટ રમવા આવેલા યુવકે આગની જાણ કરી10 ડિસેમ્બર વહેલી સવારે 7.14 કલાકના અરસામાં લિફટના વાયરિંગમાં શોર્ટ-સર્કિટ થતા આગ લાગી હતી. આગ પ્રસરતા માર્કેટના વિવિધ માળ પર ફેલાઈ હતી. બનાવની જાણ ત્યાં ક્રિકેટ રમવા આવેલા ગ્રૂપના મનિષ પુનિયાએ બીજા માળે લાગેલી આગ જોઈને ફાયર વિભાગને જાણ કરી હતી. સવારના સમયમાં માત્ર બે ફાયર સ્ટેશનની ગાડીઓએ સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યો પણ આગ એવી વિકરાળ સ્વરૂપે પ્રસરી કે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગનાં લાશ્કરો માંડ માંડ આગ પર કાબુ મેળવે ત્યાં સુધીમાં તો આગ પુનઃ ભડકી ઉઠતી હતી. આ સ્થિતિમાં એક તબક્કે સાતમા માળ પર જે દુકાનોમાં આગ લાગી હતી ત્યાં તાપમાન 500 ડિગ્રીની ઉપર પહોંચી ગયું હતું. જેને પગલે હાલનાં તબક્કે સાતમાં મળ પર આવેલ બીમ - કોલમને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લિફ્ટ પાસે શોર્ટ સર્કિટને લીધે લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગનાં જવાનોને કલાકોનો સમય લાગ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ભારે જહેમત બાદ આજે સવારે જે સ્થળે આગ લાગી હતી તે સ્થળનાં દ્રશ્યો અત્યંત ભયાવહ નજરે પડ્યા હતા. ભીષણ આગને પગલે જે સ્થળે લોખંડની એંગલો હતી તે પણ પીગળી ગયેલી નજરે પડી રહી હતી. અત્યંત ભીષણ આગ વચ્ચે તાપમાન 500 ડિગ્રીને પાર પહોંચતા જે કાપડનો જથ્થો બળી ગયો હતો તે પણ ડામરની જેમ નજરે પડી રહ્યો છે. ત્રણ જગ્યા પરથી પાણીનો મારો ચલાવ્યોફાયર વિભાગની 34 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી.ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ, ફાયર ઓફિસરો અને ફાયરમેન ઊંચાઇએથી અદ્યતન મશીનના ઉપયોગથી ત્રણ જગ્યા પરથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બે ફાયરમેન દાઝ્યા અને 3ને ગુંગણામણ થઈશરૂઆતમાં જ ત્રણ ફાયરમેનની ગૂંગળામણના લીધે તબિયત લથડતા સ્મીમેર હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. ઉપરાંત બે ફાયરમેન દાઝ્યા હતા. સાતમા માળ પર 14 દુકાન ધરાવતા ચંદ્રા ફેશનના રાજેશભાઇના કાપડના ગોડાઉનમાં એક તબક્કે આગ કાબૂમાં આવી હોવાનો દાવો કર્યા બાદ કૂલિંગની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ થોડી જ વારમાં આગે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. 12 કરોડથી પણ વધારે નુકસાનનો અંદાજફાયર વિભાગના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચેની વાતચીતમાં અંદાજે 10થી 12 કરોડથી પણ વધારે નુકસાન થયું હોવાની ભીતિ છે. વેપારીઓને દુકાનની અંદર પ્રવેશ આપવામાં આવ્યા બાદ નુકસાનનો આંકડો સાત કરોડને પાર થઇ જાય તેવી શક્યતા પણ છે. બીજી તરફ આ ઘટનાને પગલે માર્કેટ બંધ કરાવવામાં આવી છે.જોકે માર્કેટ ક્યારે ચાલુ થશે તે પણ હાલમાં ચોક્કસ કહી નહી શકાય મતલબ કે હાલમાં તો માર્કેટ બેમુદત સમયમર્યાદા માટે બંધ રાખવામાં છે.આ પરિસ્થિતિ વચ્ચે માર્કેટમાં કટિંગ, પેકીગ સહિતનું કામકાજ કરતા સેંકડો કારીગરોની હાલત કફોડી બનવા પામી છે. કારીગરોની રોજીરોટી પર સંકટમોટી સંખ્યામાં એવા કારીગરો છે. જે હાલમાં બેરોજગાર બની ગયા છે.જોકે વેપારીઓ માનવતાના ધોરણે તેમને માર્કેટ ચાલુ થાય ત્યાં સુધી આર્થિક રીતે મદદ કરશે તો ઠીક નહી તો તેમની આર્થિક સ્થિતિ દયનિય બની શકે છે. પોતાની આપવીતી જણાવતા એક મજૂરે જણાવ્યું હતું કે તે તેઓ રાજ ટેક્સ્ટાઇલ માર્કેટના પહેલા માળ ઉપર આવેલી એસ.એલ. ફેબ નામની દુકાનમાં સેલ્સમેન તરીકે છેલ્લા બે - ત્રણ વર્ષર્થી કામ કરે છે. આજે સવારથી જ તેઓ કામ માટે માર્કેટમાં પહોંચી ગયા હોતા.જો ત્યાંથી એવું કહેવામા આવ્યું હતું કે હાલમાં માર્કેટ બંધ છે. અને કામ પણ બંધ રહેશે. એટલું જ નહીં ક્યારે ચાલુ થશે તે પણ તેમને હાલમાં ચોક્કસ જણાવવામાં નથી આવ્યું છે. આ વાતને લઈને તેમણે ચિંતા સતાવવા લગાવી છે કે કામકાજ વધારે સમય સુધી બંધ રહેશે તો પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે. કામકાજ ચાલુ હોય તેવી આશાથી 10 જેટલા કારીગરો આવ્યા પણ નિરાશ થયાઅન્ય કારગરોએ પણ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે તે પહેલા માળે આવેલી એક દુકાનમાં પેકિંગનું કામ કરે છે. આજે કામકાજ ચાલુ હોય તેવી આશા સાથે 10 જેટલા કારીગરો સવારથી જ આવી ગયા હતા,પરંતુ માર્કેટ પહોંચતા ત્યાંના દ્રશ્યો બહુજ ખરાબ હતા. માર્કેટમાં પહોંચતા તેમને કહ્યું હતું કે ઘરે જાઓ,અત્યારે કોઈ કામ નથી.છતાં તેઓ કામ ચાલુ થશે તેવી આશા લઈને માર્કેટ પર બેસીને કામની રાહ જોતા રહયા હતા.જોકે કામ તો હાલમાં અચોક્કસ સમય માટે બંધ હોવાનું જાણવા મળ્યું છે. નીટિંગ ગ્રે અને ફેબ્રિકના કારણે આગ કાબૂમાં લેવામાં નાકે દમ આવ્યોમાર્કેટની આગમાં સપડાયેલી દુકાનોમાં નીટિંગ ગ્રે અને ફેબ્રિક મોટા પ્રમાણમાં હતું. પોલિએસ્ટરની આ પ્રકારની પ્રોડક્ટમાં આગ પકડ્યા બાદ કાબૂમાં આવતા નાકે દમ આવી જાય છે. પેટ્રોકેમિકલ પ્રોડક્ટમાંથી બનતું પોલિએસ્ટર ફાઇબર બર્નિંગ આઇટમ કહેવાય છે. કેમ વારંવાર બને છે આગની ઘટનાઓ?બીજી બાજુ સુરતની કાપડ માર્કેટોમાં કેબલ કેપેસિટી કરતા પાવર લોડ વધારે હોય છે. જેને લીધે આગની ઘટનાઓ સમયાંતરે બને છે. જેથી આવી ઘટનાઓને અટકાવવા માટે હવે એનર્જી ઓડિટ કરવું જરૂરી હોય છે. સુરતની કાપડ માર્કેટોમાં એક મહત્ત્વનું પાસું વીજ લોડ ફેક્ટર પણ છે. જ્યારે માર્કેટ બની હોય ત્યારે દુકાનો અને વપરાશ મુજબ વીજ લોડ ફેક્ટર નક્કી કરાતા હોય છે. પરંતુ સુરતમાં કાપડ માર્કેટમાં દુકાનો વેચાયા બાદ માળિયા બનાવવા સહિતના ઘણા ફેરફરો થતા હોય છે. આ સાથે ઇલેક્ટ્રિક ઉપકરણોની માત્રા પણ વધી જતી હોય છે. જેને લીધે કેબલની ક્ષમતા કરતા પાવર લોડ વધી જાય છે. કેબલ કેપેસિટી કરતા પાવર લોડ વધે ત્યારે તાંબાનો ડાયામીટર નાનો થાય છે અને આ સ્થિતિમાં કેબલ ગરમ થતા અકસ્માતને નોતરે છે. વારંવાર આગ પણ કાર્યવાહીના નામે ફક્ત દેખાડોસુરતના કાપડ બજારમાં આગની ઘટના સતત વધી રહી છે. દર થોડા સમયગાળે ક્યાંકને ક્યાંક આગ ભભૂકી ઉઠે છે અને કરોડોના માલસામાનની હાનિ થાય છે. વેપારીઓએ જીવનભરની જતનથી તૈયાર કરેલી દુકાનોમાં મોટાપાયે નુકસાન થાય છે. આગની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી હોવા છતાં પ્રશાસન દ્વારા કાર્યવાહીના નામે ફક્ત દેખાડો કરાતો હોવાનો ગણગણાટ ફરી વેપારી આલમમાં શરૂ થયો છે. નોટિસ અને નિયમો કાગળ પર જ રહી જાય છેઆગની દરેક ઘટના બાદ વિવિધ વિભાગો દ્વારા દુકાનોની ચકાસણી, નોટિસો, અને સલામતી નિયમોનું પાલન નહીં કરતાં વેપારીઓને કાર્યવાહીની ચીમકી અપાય છે. પરંતુ હકીકતમાં આ પગલાં કાગળ પર વધુ અને અમલમાં ઓછા દેખાય છે. આ પ્રકારની ઘટનાઓ પછી થોડા સમય માટે નિયમોનું પાલન થાય છે. ત્યારબાદ પરિસ્થિતિ ફરી ‘જૈસે થે” થઈ જાય છે. ફાયર સેફ્ટીના સાધનોની અછત છતાં નક્કર પગલાં લેવાતા નથીસુરત કાપડ માર્કેટની સંકુચિત ગલીઓ, અતિભીડ અને ફાયર સેફ્ટીના સાધનોની અછત જેવી વર્ષો જૂની સમસ્યાઓથી ગરબડાયેલું છે. દરેક ઘટના બાદ આ મુદ્દાઓ ફરી યાદ આવે છે, પરંતુ તેના ઉકેલ માટે લાંબા ગાળાનું કોઈ મક્કમ આયોજન જોવા મળતું નથી. ક્યારેક આ પ્રકારની ઘટનાઓમાં નિર્દોષોનો જીવ પણ જાય છે. ત્યારે જયાં સુધી પ્રશાસન આગને અકસ્માત નહીં. પરંતુ અગાઉથી અટકાવી શકાય તેવી ઘટના બને નહીં, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહેશે. જેની સાબિતી ગતરોજ રાજ ટેક્સ્ટાઈલ માર્કેટમાં બનેલી આગની ઘટના આપી જાય છે. સુરતના કાપડ બજારને સુરક્ષિત બનાવવા માટે માત્ર કાર્યવાહીની જાહેરાતો નહીં, પરંતુ ગંભીરતા, મક્કમતા અને જવાબદારીની અમલવારી સમયની માંગ છે. ફાયર સેફ્ટી હતી પણ ચાલુ જ ના થઈરાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં સવારે આગ ફાટી નીકળી ત્યારે ત્યાં હાજર સિક્યોરિટીના જવાનો અને અન્ય લોકોએ ફાયર સેફટીનાં સાધનોની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેટરી નહી હોવાથી ફાયરના સાધનો સ્ટાર્ટ થઇ શક્યા નહોતા. આજુબાજુમાં પણ અન્ય માર્કેટોમાં પાણીની ટાંકીઓ છે પરંતુ વીજળી નહીં હોવાથી ત્યાંથી પણ પાણી લઇ શક્યા નહોતા. એક જ વેપારીની 6 દુકાનમાં આગશિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગની ઘટના બાદ આ બીજી મોટી આગની ઘટના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બનવા પામી હતી. શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓની દુકાનોમાં નુકસાન થયું હતું જ્યારે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં એક જ વ્યાપારી રાજેશભાઈની 6 દુકાનો સાતમા માળે આવેલી છે. તેમની સાતમા માળે આવેલી સાત થી આઠ દુકાનોમાં રહેલો યાન અને લાયગ્રા કાપડનો જથ્થો બળીને પ્રાપ્ત થઈ ગયો હતો. જેથી કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. વેન્ટિલેશન વિન્ડો પણ કવર કરી દેવાઈજ્યારે ફાયરના જવાનો આગ ઓલવી રહ્યા હતા ત્યારે માળિયા સુધી પાણીનો મારો જઈ રહ્યો ન હતો. વેન્ટિલેશન માટેની વિન્ડો પણ કવર કરી દેવામાં આવી છે. જેમાં પહેલા લોખંડની જાળી, ત્યારબાદ ગ્રીલ, ત્યારબાદ કાચ અને પછી માલ સામાન મૂકવામાં આવે છે તેના કારણે આગ લાગે ત્યારે અહીં પાણી યોગ્ય રીતે અંદર જઈ શકતું નથી. દરેક વેપારીઓ એક માળ પર બે બે દુકાનોને કવર કરીને સમાન રાખતા હોય છે. માળિયા પર રહેલો લાઇક્રા કાપડના જથ્થો બળીને નીચે પડી રહ્યો હતો અને તેમાંથી ફરી આગ લાગી રહી હતી વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે માળિયા બનાવાયાટેક્સટાઇલ માર્કેટમાં એક તો ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું હોય છે. દરેક માર્કેટમાં આ રીતે વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે માળિયા બનાવાયા છે. તે મુદ્દે ફાયર વિભાગે નોટિસ પણ આપી છે. દુકાનદારો દ્વારા બેઝમેન્ટ અને આજુબાજુનો ભાગ કવર કરીને ત્યાં પણ સામાન મુકી દેવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:07 pm

2.30 લાખ મતદારોને શોધવાનું કામ પોલિટિકલ પાર્ટીઓના શિરે:રાજકોટમાં SIR અંતર્ગત 23.91 લાખમાંથી 2.60 લાખ મતદારોનું મેપિંગ બાકી, 89,294 મૃત નિકળ્યા

કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાતમાં આ કામગીરી હાલ પૂર્ણ થવાના આરે છે. રાજકોટ જિલ્લામાં 23.91 લાખ મતદારોમાંથી 89,294 મતદારો મૃત હોવાનું સામે આવતા તેમના નામ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ ઉપરાંત 61,240 મતદારો તેમના ઘરે હાજર ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે 1.69 લાખ મતદારો શિફ્ટ થઈ ગયા હોવાનું ખુલ્યુ છે. 16 ડિસેમ્બરના ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ થવાની છે ત્યારે હવે ઘરે ગેરહાજર અને શિફ્ટ થયેલા 2,30,820 મતદારોને શોધી કાઢવાની કામગીરી પોલિટિકલ પાર્ટીઓના બૂથ લેવલ એજન્ટોને સોંપવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં SIR ની કામગીરી 100% પૂર્ણ થઈ ચૂકી છે. જે અંતર્ગત 23,91,027 મતદારો છે. 8,13,689 મતદારો છે જેઓએ પોતાને જ મેપિંગ કરેલા છે. આ મતદાર એવા છે કે જેમનો જન્મ 1987 પહેલા થયો છે અને વર્ષ 2002 માં તેઓ મતદાર હતા. આ ઉપરાંત 9,87,884 મતદારો એવા છે કે જેઓએ ફેમિલી મેપિંગ કરેલું છે. રાજકોટ જિલ્લામાં હજુ પણ 2,60,514 મતદારોનું મેપિંગ બાકી છે. કુલ 20,52,450 મતદાર યાદીના ફોર્મ ડિજિટલાઇઝ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 89,294 મતદારો મૃત હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 61,240 મતદારો તેમના ઘરે ગેરહાજર મળી આવ્યા છે. જ્યારે 1,69,580 મતદારો અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ કામગીરી દરમિયાન તમામ પોલિટિકલ પાર્ટી સાથે બેઠક કરવામાં આવી છે. તમામ બુથમાં બુથ લેવલ એજન્ટો સાથે પણ બેઠકો કરવામાં આવી છે. હાલ જે મતદારો ગેરહાજર છે ઉપરાંત શિફ્ટ થઈ ગયા છે તેની યાદી પોલિટિકલ પાર્ટીના બૂથ લેવલ એજન્ટોને આપવામાં આવી છે. જેથી તમામ મતદારો પોતાને મેપ કરી લે તેવી વિનંતી છે. 16 ડિસેમ્બર, 2025 ના ડ્રાફ્ટ પબ્લિશ કરવામાં આવશે. જેની સામે કોઈને કોઈ વાંધા સૂચનો હોય તો 15 જાન્યુઆરી 2026 સુધીમાં રજૂ કરવાના રહેશે. 16 ડિસેમ્બર 2025 થી 7 ફેબ્રુઆરી 2026 સુધી નોટિસ પિરિયડ આપવામાં આવશે. જે બાદ ફાઇનલ મતદાર યાદી 14 ફેબ્રુઆરી,2026 ના પબ્લિશ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 3:05 pm

રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:રૂપિયા 143 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા સહિત રૂ. 162 કરોડનાં વિકાસ કામોની 20 દરખાસ્ત મંજુર, 4 દરખાસ્ત પેન્ડિંગ રખાઈ

રાજકોટ મનપા કચેરીએ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં રૂપિયા 143 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા સહિત રૂ. 162 કરોડનાં વિકાસ કામોની 20 દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. જ્યારે અલગ-અલગ 4 દરખાસ્ત વધુ વિચારણા માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. રાજકોટનાં કણકોટ પાસે સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનતા નવા ભળેલા વિસ્તારો જેવા કે, વાવડી, મોટામૌવા, મુંજકા, મનહર પુર અને માધાપર સહિતના વિસ્તારમાં રહેતા 4 લાખ કરતા વધુ લોકોને તેનો લાભ મળશે. જોકે પ્લાન્ટ બનાવવાની કામગીરી પૂર્ણ થતાં બે વર્ષ જેટલો સમય લાગશે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર આજે મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં રૂ. 162 કરોડથી વધુ ખર્ચની 20 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. તેમજ રણછોડનગરમાં આવેલ મનપાની માધ્યમિક શાળાનું મકાન લિઝ ઉપર આપવાની દરખાસ્ત સતત ત્રીજીવાર પેન્ડિંગ રાખવામાં આવી છે. જે ટ્રસ્ટને આ મકાન લિઝ ઉપર આપવાની વાત છે તે કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરતું હોવાથી વધુ વિચારણા માટે દરખાસ્ત પેન્ડિંગ રહી છે. જ્યારે સિક્યુરિટી માટે એજન્સી નિમવા, પગારમાં વધારો કરવા અને ઓડિટ શાખામાં ખાલી પડેલી જગ્યા ભરવા સહિતની દરખાસ્તો વધુ વિચારણા માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટરાજકોટ મહાનગરપાલિકા સૌરાષ્ટ્રનો સૌથી મોટો 150 MLD (મિલિયન લિટર પ્રતિ દિન) ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) સ્થાપવા જઈ રહી છે. આ મહત્વાકાંક્ષી યોજના પાછળ અંદાજે રૂ. 143.07 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, તેના ઉપર આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી અપાઈ છે. રાજકોટ પશ્ચિમના નવા ભળેલા વિસ્તારો અને ભવિષ્યમાં જોડાનાર સંભવિત વિસ્તારોની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા આ એડવાન્સ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ વેસ્ટ ઝોનના લોકોને પૂરતું અને ફિલ્ટર થયેલું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરશે. ન્યારી-1 ડેમ આધારિત આ WTP કણકોટ રોડ પર સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસે, વોર્ડ નં. 11ના મવડી ટીપીના બે પ્લોટમાં લગભગ 54,558 ચોરસ મીટર જમીન પર બનાવવામાં આવશે. મૂળભૂત રીતે, 150 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે રૂ. 117.24 કરોડનો ખર્ચ થશે. આ કામમાં પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના રૂ. 9.33 કરોડનો પણ સમાવેશ થાય છે, જેનાથી કુલ ટેન્ડર રકમ રૂ. 136.70 કરોડ થાય છે. આ ઉપરાંત, રૂ. 20.36 કરોડ જીએસટી (GST) અને OM ના રૂ. 9.60 કરોડ સહિત અધિકારીઓએ કુલ રૂ. 143.07 કરોડનો ખર્ચ થશે. આ યોજનામાં WTPના તમામ સ્ટ્રક્ચર યુનિટ્સ, અંદાજિત 65.00 ML ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર (GSR), 3 ML ક્ષમતાનો એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ESR), પમ્પિંગ સ્ટેશન, તેને લગતા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કામો, કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટર, ઓફિસ બિલ્ડિંગ અને એરિયા ડેવલપિંગના કામોનો સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ ભાગમાં ન્યારી ડેમથી આવતી 1400 mm (મિલીમીટર) ડાયામીટરની આશરે 5.90 km (કિલોમીટર) લાંબી વોટર પાઇપલાઇન નાખવા સહિતના કામો બે વર્ષમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 5 વર્ષનો કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ સામેલ છે. કામ માટે ટેન્ડર પ્રક્રિયામાં ચેન્નાઈની ઇકો પ્રોટેક્શન એન્જિનિયરિંગ અને રાજકોટની સ્ટર્લિંગ ઇન્ફ્રા. કંપનીના જોઈન્ટ વેન્ચરે 26.99 ટકા 'ઓન' માંગ્યો હતો, જ્યારે અમદાવાદના ક્રિષ્ના કોર્પ ઇન્ડિયા પ્રા. લિ. અને ક્રિષ્ના કન્સલ્ટન્ટના જોઈન્ટ વેન્ચરે 4.66 ટકા 'ઓન' રજૂ કર્યો હતો. આ નીચા ભાવને ટેક્નિકલ ઇવેલ્યુએશન કમિટીએ મંજૂર કર્યો છે. આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવતા તે રાજકોટના પાણી પુરવઠા માળખામાં એક મોટું સીમાચિહ્નરૂપ પરિવર્તન લાવશે. 5 વર્ષ પહેલાં સરકારી મંજૂરી મેળવ્યા બાદ હવે યોજના સાકાર થશે. અન્ય મહત્ત્વની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમક્ષ એક મહત્ત્વની દરખાસ્ત મનપાના વિવિધ કાર્યક્રમો માટેના 'તત્કાલ' ખર્ચની મંજૂરીને લગતી હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સીઓ મારફત જ કામગીરી કરાવવાની સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભમાં, રેટ કોન્ટ્રાક્ટ કરેલા કે ન કરેલા, મંડપ, લાઇટ, સાઉન્ડ, એલઇડી, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ડ્રોન, બેનર, પ્રિન્ટિંગ, પ્રચાર-પ્રસાર, જાહેરાત, અલ્પાહાર, ભોજન અને વાહનની વ્યવસ્થા જેવા તમામ કાર્યો માટે હવે સરકારી એજન્સીઓને એમ્પેનલ કરવાની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. ત્યારે નાના અને ઇમરજન્સી ખર્ચ માટે વારંવાર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો મોકલવા જરૂરિયાત દૂર થશે અને કમિશનર કક્ષાએ ઝડપી મંજૂરી મળી શકશે. હોર્ડિંગ અને જાહેરાત કોન્ટ્રાક્ટને લગતી અન્ય એક મહત્ત્વની દરખાસ્તમાં એસ્ટેટ વિભાગે એજન્સીઓની માંગણીને ધ્યાનમાં રાખીને કુલ 35 હોર્ડિંગ સાઇટના કોન્ટ્રાક્ટની મુદત ત્રણ વર્ષને બદલે પાંચ વર્ષની કરવા ભલામણ કરી છે. આ નિર્ણય હેઠળ 2030 સુધી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, જેમાં દર વર્ષે 6 ટકાનો ભાવ વધારો લાગુ થશે. આ પગલું કોર્પોરેશનની આવકમાં વધારો કરશે તેવો દાવો દરખાસ્તમાં કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણી વર્ષમાં આટલો લાંબો કોન્ટ્રાક્ટ આપવા અંગે આવતીકાલે સમિતિ નિર્ણય લેશે. આ 35 સાઇટમાં નવા ભળેલા વિસ્તારો ઉપરાંત ડો. યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, રેસકોર્સ રીંગ રોડના વિવિધ ભાગો, કાલાવડ રોડ, ગોંડલ રોડ, મોરબી રોડ સહિતના મુખ્ય માર્ગો પરના હોર્ડિંગ બોર્ડ, કિયોસ્ક બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડના હક્કોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં કુલ 9 એજન્સીઓએ રસ દાખવ્યો હતો, જેમાં 3 એજન્સીઓ ડિસ્કવોલિફાય થઈ હતી, અને નીચા ભાવ રજૂ કરનાર એજન્સીને કામ સોંપવાનો નિર્ણય લેવાયો છે. અન્ય દરખાસ્તોમાં કોર્પોરેશનની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે કુલ 9 સંવર્ગોના પગાર ધોરણમાં સુધારો કરવાની દરખાસ્ત હતી. આ સુધારાનો લાભ ચીફ ફાયર ઓફિસર, ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લેબર ઓફિસર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ (જન્મ-મરણ) અને સફાઈ સુપરવાઈઝર સહિત 9 કેડરના લગભગ 75 કર્મચારીઓ અને અધિકારીઓને મળે તેમ હતો. પગાર સુધારાનો હુકમ થયાની તારીખથી આ કર્મચારીઓને સુધારેલું પગારધોરણ મળવાપાત્ર થાય તેમ હતું. જેનાથી કોર્પોરેશનના પગાર ખર્ચમાં વધારો થવાની સંભાવના હોય હાલ આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાના કામ, ફર્નિચરની ખરીદી, સ્ટોર્મ અને ડ્રેનેજ લાઇન નાખવાના કામો, નાકરાવાડીની સાઈટ પાછળ કમ્પાઉન્ડ વોલ બનાવવા સહિતનાં કામો આજની આ બેઠકમાં મંજુર કરવામાં આવ્યા છે. જોકે સૌથી મહત્વની દરખાસ્ત કણકોટ પાસે સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની મંજુર થઈ છે. જેનો લાભ પશ્ચિમ રાજકોટમાં રહેતા લાખો લોકોને મળશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 2:57 pm

15 વર્ષીય સગીરનું મશીન નીચે દબાઈ જતાં મોત:પ્રેશ મશીનમાં ફસાઈ જતા શરીરના કટકા થઈ ગયા, ગુજરાત પ્લાય બોર્ડ કંપનીમાં કરૂણ ઘટના

સુરત શહેરના હોજીવાલા વિસ્તારમાં આવેલી ગુજરાત પ્લાય બોર્ડ કંપનીમાં ગત બુધવારે સાંજે એક અત્યંત કરૂણ ઘટના બની હતી. પ્લાય બોર્ડના કારખાનામાં કામ કરતા માત્ર 15 વર્ષીય સગીર શ્રમિક મનીકાંત કુમારનું મશીન નીચે દબાઈ જવાથી દર્દનાક મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક ગુજરાત પ્લાય બોર્ડ કંપનીમાં કામ કરતો હતોપ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારનો રહેવાસી મનીકાંત કુમાર છેલ્લા એક વર્ષથી સુરતમાં પરિવાર સાથે રહીને ગુજરાત પ્લાય બોર્ડ કંપનીમાં નોકરી કરતો હતો. બુધવારે સાંજે લગભગ 7થી 7:30 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. પ્રેસ મશીન ચાલુ કરવા જતાં અકસ્માતે મશીન નીચે દબાઈ ગયોમનીકાંત દરવાજા નજીક આવેલા ફિંગર જોડવાનું કામ કરતા એક પ્રેસ મશીનને ચાલુ કરવા માટે ગયો હતો. આ દરમિયાન, અકસ્માતે તે મશીન નીચે દબાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મશીનમાં ફસાઈ જવાથી તેના શરીરના કટકા થઈ ગયા હતા. અન્ય એક કર્મચારી પવન કુમારે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ આઠ વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મનીકાંત જમીન પર પડેલો હતો. કરૂણ ઘટના બાદ પરિવારજનો શોકમાં ગરકાવમાત્ર 15 વર્ષની ઉંમરે મનીકાંત આ નોકરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતો હતો. તેના પરિવારમાં એક ભાઈ અને બે બહેન છે. આ કરૂણ ઘટના બાદ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. શેઠે પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપીઆ દુર્ઘટના અંગે પવન કુમારે જણાવ્યું હતું કે, કંપનીના શેઠને પરિવારે બનતી તમામ મદદ કરવા માટે વિનંતી કરી હતી, જેથી મનીકાંતના માતા-પિતાને કોઈ સમસ્યા ન થાય. શેઠ તરફથી પણ પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે. સગીરને જોખમી મશીન પર કામ કરાવવા મુદ્દે તપાસ કરાશેસચિન GIDC પોલીસ આ સગીર શ્રમિકના મૃત્યુ અંગે ગુનો નોંધીને તપાસ કરી રહી છે. કારખાનામાં સગીરને જોખમી મશીન પર કામ કરાવવાના મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 2:47 pm

સાયન્સ ફેરનું આયોજન:તક્ષશિલા વિદ્યાલયના સાયન્સ ફેરમાં વિદ્યાર્થીઓએ કૃત્રિમ ખાતરથી લઈને રામ-કૃષ્ણની આસ્થા સુધીના મોડેલો રજૂ કર્યા

ભાવનગર શહેરના બોરતળાવ રેલવે હોસ્પિટલ પાછળ આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે એકદિવસીય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા 'સાયન્સ ફેર 2025'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ પાસાઓને ઉજાગર કરતા અવનવા પ્રોજેક્ટ્સ અને પ્રયોગો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ કરી દે તેવા સાયન્સ એક્સપેરિમેન્ટ્સ, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની શાખાઓના અદ્યતન પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ વર્તુળના સાંપ્રત પ્રવાહને લગતી દીકરી નું ઘડતર વિવિધ, રાજ્યોના તહેવારો સહાયતે આર્ટ ગેલેરી વગેરે જેવા વિષયો પર શૈક્ષણિક મોડેલો પણ બનાવ્યા હતા. રામ આયોગ, પ્રાચીન શિક્ષણ પ્રણાલી, કૃષ્ણ સદા સહાયત, આર્ટ ગેલેરી વગેરેનું આયોજન જેવા માહિતીસભર પ્રદર્શનો પણ રજૂ કરાયા હતા. આ અંગે પાયલ પરમારે જણાવ્યું હતું કે, વિદ્યાલય ખાતે સાયન્સ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાયન્સ ફેર માં અલગ અલગ મોડલો રજૂ કરવામાં આવ્યા છે કૃત્રિમ છાણીયું ખાતર નો ઉપયોગ કેવી રીતે કરાય કેવી રીતે કરી શકો છો, ખેતી કેવી રીતે કરી શકો છો, તેમજ સાંપ્રત પ્રવાહોના પ્રોજેક્ટો નું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેમાં રામ ભગવાન કૃષ્ણ ભગવાન ની આસ્થાના તે તમામ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે વિવિધ પ્રકારના તહેવારોની ઉજવણી ભારત દેશમાં કેવી રીતે કરવામાં આવે છે, આમ બાળકોએ વિવિધ પ્રકારની મોડેલો, પ્રદર્શન રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 2:47 pm

ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ શરૂ:ગાંધીનગર FSLમાં મેડિકલ તપાસ પૂર્ણ, રાજકુમાર જાટ કેસમાં ખુલાસો થવાની શક્યતા

ગોંડલના રાજકુમાર જાટના ચકચારી કેસમાં આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આજે ગાંધીનગરમાં શરૂ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ટેસ્ટ પહેલાં ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હતી. હાલમાં રાજકુમાર જાટ કેસની સમગ્ર તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુની દેખરેખ હેઠળ ચાલી રહી છે.તપાસના આ નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપીગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો આજે 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લાવીને 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ થઈ છે અને આજે નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. શું છે નાર્કો ટેસ્ટ?નાર્કો ટેસ્ટમાં જેનો ટેસ્ટ કરવાનો હોય છે એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઈન્જેક્શન અપાય છે. જેની અસરથી તેની વિચારશક્તિ સિમિત થઈ જાય છે. આ ટેસ્ટ સમયે લગભગ બેભાન હાલત હોય છે. દવાની અસરના કારણે જુઠ્ઠુ બોલવાની સંભાવના પણ ઘટી જાય છે. એક એક્સપર્ટ કેસ અંગે સવાલો કરે છે. આ સમયે પણ તે વ્યક્તિના હાવભાવને ખાસ ધ્યાને લેવાય છે. કોર્ટમાં નાર્કો ટેસ્ટ પુરાવા તરીકે કેમ માન્ય નથી?નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, દવાનો ઉપયોગ કર્યા પછી, એવી કોઈ ગેરેંટી નથી કે આરોપી માત્ર સત્ય જ કહેશે. એનેસ્થેસિયાની સ્થિતિમાં, વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઇચ્છાનું નિવેદન આપતું નથી અને આ સમયે તે પોતાના હોશમાં પણ નથી હોતો. તેથી જ કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટને કાયદાકીય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા નથી. જો કે, સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે નાર્કો ટેસ્ટ રિપોર્ટની મદદથી પછીથી જે પણ માહિતી મળી આવશે તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. 14 માર્ચે ટ્રાવેલ્સની અડફેટે આવવાથી મોત થયું હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ 14 માર્ચે તેનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનો રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો. તે સમયે એટલે કે 14 માર્ચ, 2025ના રોજ રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ 9ના થયું હતું. આઇડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો. ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોવાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલો હોવાથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપી હતી. જેના આધારે SOG, કુવાડવા રોડ પોલીસ મથક, LCB, ઝોન-1 એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સિનિયર અધિકારીઓ કે જેમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ઝોન-1 અને અમારા દ્વારા સ્થળની વિઝીટ કરવામાં આવી હતી. જે વિઝીટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બની શક્યો હોય તે જોવામાં આવ્યું હતું. આ પણ વાંચો... મૃતકની બોડી પર ઈજાનો દાવો, વીડિયો ભાસ્કર પાસે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈઆપણી પાસે એક સમયગાળો હતો કે, આશરે 2.15થી 2.30 વાગ્યા દરમિયાન બનાવ બન્યો હોઈ શકે છે. આ બનાવ બન્યાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એ સમયગાળા દરમિયાન કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને 150થી વધુ CCTV કેમેરા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચકાસવામાં આવ્યા. આ બધા સીસીટીવી કેમેરાની ચકાસણી ચાલુ હતી ત્યારે એક ડમ્પરચાલક દ્વારા માહિતી મળી કે, તે જ્યારે 2.33 વાગ્યા આસપાસ પસાર થાય છે તેની પહેલા ત્યાં મૃતદેહ પડેલો હતો. તે ધ્યાનમાં રાખીને અને કઈ બસ તેની આગળ ચાલતી હતી. તેની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈ હતી. ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત આપીશંકાસ્પદ બસના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી ડ્રાઇવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની મદદ લઈને તે ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોવાથી બ્રિજથી તે નીચે ઉતરતા હતા. તે જ સમયે આ વ્યક્તિ રસ્તાની વચ્ચે ચાલ્યો જતો હતો અને આંખ પર પ્રકાશ પડતા ભૂલથી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું તેવી કબૂલાત આપવામાં આવી હતી. આ કબૂલાતના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. સાથે અન્ય સાહેદોના નિવેદનો લેવા માટેની તજવીજ કુવાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બસની ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની તપાસ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે. ડ્રાઇવરે માલિકને રોઝડું આવી ગયું હોવાનું કહી ખોટું કીધુંતેમણે વધુમાં જણાવ્યું હતું કે, બસથી અકસ્માત થયો હોઈ શકે છે તે સંભાવનાના આધારે શંકાસ્પદ બસોના ડ્રાઈવરો અને માલિકોની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આરોપી બસના ડ્રાઈવર દ્વારા કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું. આ અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ કરવામાં આવી ન હતી. જોકે તેના ક્લીનરને જાણ કરી કે કદાચ આ રીતનો કોઈ બનાવ બની ગયો છે અને આગળ આ બાબતે આપણે શું કરવું. જે બાદ અમદાવાદ ખાતે પહોંચીને ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને જાણ કરવામાં આવે છે કે, રોઝડું આવી ગયું હતું જો કે તે બાદ એવી કબૂલાત આપવામાં આવે છે કે, ડરના કારણે હું ખોટું બોલ્યો હતો ખરેખર એક વ્યક્તિને ટક્કર લાગી હતી. આ સમયગાળા દરમિયાન ફોર વ્હીલર અને ડમ્પર સહિતના મોટા વાહનો ગણીએ તો 12થી વધુ પસાર થયા હતા અને ટોટલ 46 વાહનો 15થી 20 મિનિટના સમયગાળા દરમિયાન પસાર થયા હતા. મૃતકને ઈજા હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈરાત્રિનો સમય હતો તેને કારણે લોકોને વધુ આઈડીયા આવ્યો ન હતો, થોડું બમ્પ જેવું આવ્યું હતું અને ક્લીનર જાગ્યો ત્યારે તેને ડ્રાઇવર દ્વારા જાણ કરવામાં આવી. યુવાનની ગુમ નોંધ તા. 6 માર્ચની સવારે કરવામા આવી હતી. જાણવાજોગની પ્રોસિઝર પછી ગુમ નોંધ બાદ તેમના દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સામે પક્ષે આપણે પણ અહીં બ્રોડકાસ્ટિંગ કરેલું હતું અને તેના આધારે તા. 9 માર્ચના આઇડેન્ટીફીકેશન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 43 ઈજાની વાત સામે આવી હતી, તે તમામ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ હતી. તેઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના અકસ્માતની અંદર હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઈજા થતી હોય છે તેવું અનેક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે. નેશનલ હાઈવે ઉપર આટલી સ્પીડથી વાહનો પસાર થતા હોય અને રસ્તાની વચ્ચે અકસ્માત થાય ત્યારે વ્યક્તિને અનેક ઈજા થવાની સંભાવના છે, પરંતુ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે આ તમામ ઇજા કઈ રીતે થઈ છે. જેથી આગામી દિવસોમાં ક્લેરીફિકેશન આવશે. બનાવ બન્યો તે સ્થળે કોઈ CCTV જ નથીજે જગ્યાએ બનાવ બન્યો છે તેના સીસીટીવી કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ નથી. તેનાથી આગળ અને પાછળ સીસીટીવી છે તેનાથી અલગ અલગ બસોની મુવમેન્ટ જ દેખાય છે. બસમાં ડેમેજના આધારે ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા તમામ જગ્યાએ એટલે કે જે જગ્યાએ બોડી લઈ જવામાં આવી અને હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે તમામ જગ્યાએ સીસીટીવી કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. એમ્બ્યુલન્સના ધ્યાને બોડી આવતા સિવિલ ખસેડી હતી આ દરમિયાન પોલીસે શંકાસ્પદ 78 વાહનોનું ઝીરોઇન કરી તેમાં આ બસ વધુ શંકાસ્પદ જણાતા અને આગળ તપાસ કરતા ડ્રાઇવર દ્વારા કબૂલાત આપવામાં આવી હતી. ફેટલ એક્સિડન્ટ હોવાથી તેના ડિટેકશન ઉપર ફોકસ હતું અને તેને ધ્યાનમાં રાખીને તપાસ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મહાસાગર ટ્રાવેલ્સની અમદાવાદ તરફ જતી બસની અડફેટે ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ મૃતક યુવાનનાં પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાંના અને આસપાસના રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલાં વાહન પાસ થયાં તેના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન માહિતી મળતાં પોલીસ દ્વારા મહાસાગર ટ્રાવેલ્સના સંચાલકનો સંપર્ક કરી બસચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બે દિવસ સુધી બસચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ 13 માર્ચના રોજ બસચાલકે અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવી દીધું હતું. પોલીસે અધૂરા CCTV જાહેર કર્યાઅગાઉ મૃતક યુવાન રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને ન્યાય મળ્યો નથી મારે ન્યાય જોઈએ છે. ન્યાય માટે કદાચ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ મારી તૈયારી છે. પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે CCTV જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે. અમે ત્યાં અંદર લગભગ 15થી 20 મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા. પોલીસે જે જાહેર કર્યા તે અધૂરા CCTV છે એડિટ કરેલા CCTV છે. 'દીકરાને મારી નાખ્યો, બોડી પર ઈજાનાં નિશાન હતાં'મને હવે CCTV ઉપર પણ ભરોસો નથી આવતો. મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે. મારા દીકરાના શરીર ઉપર ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. નિશાન કેટલાં છે એ ગણ્યાં નથી પરંતુ અનેક ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં તે શંકા ઉપજાવી રહ્યાં છે. મારે ન્યાય જોઈએ છે હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ મારી તૈયારી છે. યુવકને કપડાં આપનારની ઓળખ થઈ હતીશાપરથી અકસ્માત બન્યો તે જગ્યા સુધીના CCTV ફૂટેજ ચેક કરતા ગોંડલ-રાજકોટ હાઇવે પર નિર્વસ્ત્ર હાલતમાં યુવક રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો. આ પછી યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરી તેનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. શું હતો સમગ્ર મામલો?મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. વાંચવા માટે ક્લિક કરો.... પિતાએ કહ્યું- ગણેશે બે લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાવ

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 2:42 pm

સોજીત્રામાં 9.63 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત:આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં શરૂઆત

આણંદ જિલ્લાના સોજીત્રા શહેરમાં અંદાજિત 9 કરોડ 63 લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંજય પટેલ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યોમાં સોજીત્રા શહેર ખાતે મોટી ચોકડી પર ભાઈકાકા સર્કલનું નિર્માણ, લિંબાલી ચોકડીથી પોલીસ સ્ટેશન થઈ રેલ્વે સ્ટેશન સુધીનો રોડ, તારાપુર-આણંદ એસ.એચ.થી સોજીત્રા દુધીપુરા સરકારી કોલેજ સુધીનો રોડ, સોજીત્રા સરકારી ગોડાઉનથી અન્નપૂર્ણા માતાના મંદિર થઈ કેનાલ સુધીનો રોડ અને સોજીત્રા ટેકરીયાપુરા રોડનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં સોજીત્રા શહેર અને તાલુકાના સંગઠન પ્રમુખો, મહામંત્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, વિવિધ સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખો, પૂર્વ સંગઠન પ્રમુખો, શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ સોજીત્રા શહેર અને તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 2:38 pm

ઉમરેઠ પોલીસે ચોરીના ડીઝલ સાથે ચાર શખસોને ઝડપ્યા:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા હોવાની કબૂલાત

ચોરી કરેલા ડીઝલના જથ્થા સાથે ચાર શખ્સોને ઉમરેઠ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, ઠાસરા તાલુકાના જેસાપુરા ગામનો ચંદ્રપાલસિંહ તેના સાગરિતો સાથે ચોરીનું ડીઝલ લઈને ધુળેટા કેનાલ થઈને જેસાપુરા તરફ જવાનો છે. આ માહિતીના આધારે પોલીસે ધુળેટા કેનાલથી જેસાપુરા તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની સિલ્વર કલરની આઇ-20 ગાડી અને સિલ્વર કલરની ક્રેટા ગાડી આવતા પોલીસે તેને રોકી હતી. ગાડીમાં સવાર ચંદ્રપાલસિંહ (રહે. જેસાપુરા, ઠાસરા), અરવીંદ ઉર્ફે ઢોલો કરણસિંહ ચાવડા (રહે. જેસાપુરા, ઠાસરા), નિલેષકુમાર ઉર્ફે નીલીયો નિકુલસિંહ પરમાર (રહે. કોટલીંડોરા, ઠાસરા) અને રણજીત ઉર્ફે દેવો મુકેશકુમાર ચાવડા (રહે. જેસાપુરા, ઠાસરા)ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે બંને ગાડીઓની તલાશી લેતા તેમાંથી 105 લિટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આ ડીઝલ ચોરી અથવા છળકપટથી મેળવેલું હોવાનું જણાઈ આવતા પોલીસે ક્રેટા ગાડી (કિંમત રૂ. 5,00,000), આઈ-20 ગાડી (કિંમત રૂ. 3,00,000), ડીઝલનો જથ્થો (કિંમત રૂ. 9,450), બે ડિસમિસ (કિંમત રૂ. 50), ત્રણ મોબાઈલ (કિંમત રૂ. 70,000) તેમજ લોખંડ-પ્લાસ્ટિકની પાઈપો અને દંડા સહિત કુલ રૂ. 8,79,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલે જણાવ્યું હતું કે, આરોપીઓએ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. વધુ તપાસમાં સામે આવ્યું છે કે તેઓ ઉમરેઠ અને આસપાસના વિસ્તારમાં હાઈવે તેમજ રોડ પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરીને છૂટક વેચાણ કરતા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 2:21 pm

અમદાવાદ એરપોર્ટ પર આજે 30 ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ:12 અરાઇવલ અને 18 ડિપાર્ચર ફ્લાઇટ રદ કરાઈ, જાણો ક્યાંની કંઈ ફલાઈટ કેન્સલ

અમદાવાદ એરપોર્ટ પર આજે ઈન્ડિગોની કુલ 30 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. 12 અરાઇવલ ફ્લાઇટ અને 18 ડિપાર્ચર ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રે 12 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 63 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. જેમાં અરાઇવલ 28 ફ્લાઇટ અને 35 ડિપાર્ચર ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. અરાઇવલ: ડિપાર્ચર:

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 2:20 pm

પેથાપુરના યુવકે ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચમાં 15.45 લાખ ગુમાવ્યા:30 % પ્રોફિટ શેર કર્યો તોય મૂળ રકમ વિડ્રો થઈ નહીં, ક્રિપ્ટોકરન્સીની લાલચ ભારે પડી

ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યુવકને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચમાં 15.45 લાખ ગુમાવ્યા છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીએ મોટો નફો કમાવી આપવાની વાતમાં યુવકને ફસાવ્યોગાંધીનગરના પેથાપુર મૂલચંદ પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા શાહજાદ અહમદ અન્સારીને ગત 13 ફેબ્રુઆરી 2025ના રોજ ઈશા ગુપ્તા ઉર્ફે રીતિયા ગુપ્તાનો કોલ આવ્યો હતો. બાદમાં ઈશા ગુપ્તાએ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરીને મોટો નફો કમાવી આપવાની વાત કરી હતી. જેથી તગડા નફાની લાલચમાં આવીને શાહજાદે રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. યુવકને વ્હોટ્સએપ ગ્રુપમાં જોડી એક લિંક મોકલી ત્યારબાદ ઈશા ગુપ્તાએ તેનો સંપર્ક બલબિરસિંગ ગિલ નામના શખ્સ સાથે કરાવ્યો હતો.બલબિરસિંગે શાહજાદને 'Llybit Trading' નામના વ્હોટ્સએપ ગ્રુપમાં જોડી એક લિંક મોકલી આપી હતી. જેના પગલે શાહજાદે રજીસ્ટ્રેશન કરાવી લોગિન કર્યું હતું. 15.45 લાખ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ માટે ટ્રાન્સફર કર્યાઆ ગ્રુપ અને પર્સનલ ચેટ મારફતે બલબિરસિંગે શાહજાદે ટ્રેડિંગની ટિપ્સ આપવાનું શરૂ કર્યું હતું. અને તગડા નફાની લાલચમાં માર્ચ 2025થી એપ્રિલ 2025 સુધીમાં શાહજાદે જુદા જુદા બેંક ખાતાઓમાં ટુકડે ટુકડે કરીને કુલ 15.45 લાખ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે ટ્રાન્સફર કરી દીધા હતા. પંજાબ એન્ડ સિંધ બેંક અને IDFC ફર્સ્ટ બેંકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફરઆ રૂપિયા પંજાબ એન્ડ સિંધ બેંક અને IDFC ફર્સ્ટ બેંકના જુદા જુદા ખાતા ધારકો જગજીત સિંહ અને ચિપટ્યુન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડના એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા. જોકે ટ્રેડિંગમાં થયેલા નફામાંથી 30 % પ્રોફિટ શેરિંગ તરીકે ઠગબાજો બાઈનાન્સ પ્લેટફોર્મ મારફતે શાહજાદ પાસેથી નિયમિત રીતે મેળવી લેતા હતા. સ્કોર ઓછો હોવાનું જણાવી સ્કોર મેઈન્ટેન કરવા વધુ રૂપિયા માગ્યાજ્યારે શાહજાદે પોતાની રોકેલી રકમ અને નફા સહિત કુલ 14,404 USDT (ક્રિપ્ટોકરન્સી) ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે રકમ ઉપડી ન હતી. આ બાબતે બલબિરસિંગ ગિલ સાથે વાત કરતા તેણે કસ્ટમર કેર પર વાત કરવાનું જણાવ્યું હતું. આથી શાહજાદે વેબસાઈટ પર દર્શાવેલા યુકેના કસ્ટમર કેર વ્હોટ્સએપ નંબર પર વાતચીત કરતા સામાવાળાએ સ્કોર ઓછો હોવાનું જણાવી સ્કોર મેઈન્ટેન કરવા માટે 15 હજાર USDT એટલે કે આશરે 12.50 લાખ વધુ મોકલવા જણાવ્યું હતું. મૂળ રકમ વિડ્રો થઈ નહીં તો સાયબર ફ્રોડ નો ખ્યાલ આવ્યોજે રકમ શાહજાદે મોકલવાનો ઇનકાર કરતા ઈશા ગુપ્તાએ પોતે 50% રકમ ભરવાની તૈયારી દર્શાવી હતી. આ ઓફરથી શાહજાદને શંકા ગઈ હતી. અને પોતે ભરેલા પૈસા વિડ્રો ન થતાં આખરે ખ્યાલ આવ્યો કે સાયબર ફ્રોડ થયો છે. ફરિયાદ નોંધાઈઆ મામલે તેણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ઓનલાઈન અરજી કરી હતી. જેના પગલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ઠગબાજો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 2:10 pm

5.76 કરોડની બે પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન શરૂ:12થી વધુ પ્રદૂષકોનું રિયલ-ટાઈમ ડેટા રેકોર્ડ કરે, અમદાવાદની 6 ઉદ્યોગ સંસ્થાઓને કારણદર્શક નોટિસ

ગુજરાત સરકાર તરફથી હવા અને પાણીની ગુણવત્તા મોનિટરિંગને વધુ સક્ષમ બનાવવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન (EDC) ફંડ હેઠળ રાજ્યમાં રૂ. 5.76 કરોડથી વધુના ખર્ચે બે અદ્યતન ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ શરૂ કરવામાં આવી છે. હાલમાં એક વાન કલોલ GIDC અને બીજી અંકલેશ્વર GIDC જિલ્લામાં કામગીરી બજાવી રહી છે. ઉત્તર–સૌરાષ્ટ્ર અને દક્ષિણ–મધ્ય માટે અલગ વાનઆ બે વાન દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ આવરી લેવાયા છે. એક વાન ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં અને બીજી વાન દક્ષિણ તથા મધ્ય ગુજરાત વિસ્તારમાં GPCBની પ્રાદેશિક કચેરીઓ હેઠળ સતત હવા તેમજ પાણીનું મોનિટરિંગ કરી રહી છે. રિયલ-ટાઈમ મોનિટરિંગ માટે આધુનિક સ્ટેશનવાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” PM10, PM2.5, SO₂, NOx, CO, ઓઝોન સહિતના હવાના મુખ્ય 12થી વધુ પ્રદૂષકોનું રિયલ-ટાઈમ ડેટા રેકોર્ડ કરે છે. સાથે VOCs, નોઈસ મીટર અને પાણી-ગંદાપાણીના નમૂનાઓની તપાસ માટે ઉપકરણો પણ લગાવવામાં આવ્યાં છે. કેમિકલ ઉદ્યોગ, GIDC, SEZ તથા પ્રદૂષિત વિસ્તારોમાં ઝડપી ‘ઓન-સ્પોટ’ગેસ લીક જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં આ વાન ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક પર્યાવરણીય સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. ઉદ્યોગ વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે આ વાનને નિર્ણાયક ગણવામાં આવી રહ્યું છે. 6 ઉદ્યોગ સંસ્થાઓને નોટિસપ્રાદેશિક કચેરી, અમદાવાદ-પૂર્વ હેઠળ વટવા, ઓઢવ, નરોડા, નારોલ સહિતના ઉદ્યોગ વિસ્તારોમાં હવાનું વિશ્લેષણ હાથ ધરાયું હતું. તેના આધારે નીચેની 6 સંસ્થાઓને GPCB દ્વારા કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજય મંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ GPCB સતત પ્રદૂષણ નિયંત્રણ, નિયમન અને જાગૃતિ માટે મક્કમ પ્રયત્નો કરી રહ્યું છે. ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ના સૂત્રને સાકાર કરવા આ મોબાઈલ વાન રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે ગેમ-ચેન્જર બને તેવી આશા છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 1:59 pm

BMC ચૂંટણી પહેલા NDAમાં ખેંચતાણ! 'શિંદે'સેનાએ માંગી 100 બેઠકો, હવે શું કરશે ભાજપ?

(IMAGE - IANS) BMC Elections: મુંબઈમાં યોજાનારી આગામી BMC ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મહાયુતિ ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવસેના(શિંદે જૂથ) દ્વારા 90થી 100 બેઠકોની માંગણી કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર 11 Dec 2025 1:40 pm

પીપાવાવ પોર્ટમાં ડ્રેજિંગ વિવાદ પર કલેક્ટરની બેઠક:MLA, પોર્ટ અધિકારીઓ અને માછીમારો સાથે વળતર મુદ્દે ચર્ચા

અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ દ્વારા થતી ડ્રેજિંગ કામગીરીને કારણે ઉભા થયેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે. રાજુલામાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં માછીમારોને થયેલા નુકસાન બદલ ખાનગી કંપની દ્વારા વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. જાફરાબાદ તાલુકાના શિયાળબેટના ગ્રામજનો અને ધારાસભ્ય હીરા સોલંકીએ ગઈકાલે કલેક્ટર કચેરીમાં ડ્રેજિંગ કામગીરી સામે રજૂઆત કરી હતી. તેમણે યોગ્ય નિરાકરણ ન આવે તો કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો, જ્યાં ધારાસભ્ય હીરા સોલંકીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ઉદ્યોગોના ભોગે શિયાળબેટ ગામને બરબાદ થવા દેવામાં આવશે નહીં. આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા સૂચના અપાઈ હતી. જેના પગલે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ રાજુલા પ્રાંત કચેરી પહોંચ્યા હતા. ત્યાં પીપાવાવ પોર્ટના પીઆરઓ, જી.એમ.બી. વિભાગના અધિકારીઓ, પોર્ટના પ્રતિનિધિઓ, શિયાળબેટના આગેવાનો અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના લોકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં શિયાળબેટના ગ્રામજનો અને માછીમારો દ્વારા દરિયામાં તેમના બોયા અને જાળને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરવામાં આવી હતી. આ માંગણી સ્વીકારીને માછીમારોને વળતર આપવાનો નિર્ણય લેવાતા હાલ આ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે અને મામલો શાંત પડ્યો છે. પીપાવાવ પોર્ટ નજીક થતી ડ્રેજિંગની કામગીરીનો વિરોધઅમરેલીના જાફરાબાદના શિયાળબેટ ગામના લોકોએ પીપાવાવ પોર્ટ દ્વારા થઈ રહેલા ડ્રેજિંગ કાર્ય સામે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી સાથે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર સુપરત કરી ડ્રેજિંગનું કામ અટકાવવાની માગ કરી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 1:39 pm

NRIs બનાવી રહ્યા છે ગેરકાયદેસર આધાર કાર્ડ!:લંડન રહેલી મહિલા વિરુદ્ધ નવસારીમાં FIR; કેવી રીતે માત્ર 25 દિવસમાં આધાર કાર્ડ બની ગયું? શું છે સરકારી નિયમ?

જલાલપોર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મૃણાલદાન ઈસરાણીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કોલાસણા ગામની લંડનમાં રહેતી NRI મહિલાએ ખોટા પુરાવા રજૂ કરીને ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ મેળવ્યા અંગે છે. આ પ્રક્રિયામાં મામલતદાર કચેરીના 'Service Plus Portal'ના યુઝર આઈ.ડી. અને પાસવર્ડનો દુરુપયોગ થયો હોવાનું જણાવાયું છે. હાલમાં પોલીસે NRI મહિલા અને ઓપરેટર પર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલેક્ટરે 13 કર્મીઓને સસ્પેન્ડ કર્યા આ ઘટનાને પગલે ત્રણ દિવસ પહેલાં, જિલ્લા અધિક કલેક્ટર દ્વારા આધાર કાર્ડની કામગીરીમાં ગેરરીતિની આશંકાને પગલે કુલ 13 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. જેમાં 2 સુપરવાઇઝર અને 11 ઓપરેટરનો સમાવેશ થાય છે. હાલમાં આ 13 કર્મચારીઓમાંથી કોણે સરકારી પોર્ટલનો ઉપયોગ કરી NRI મહિલાનું આધાર કાર્ડ બનાવ્યું તે તરફ તપાસ ચાલી રહી છે. કેવી રીતે સામે આવ્યો સમગ્ર મામલો18 ઓગસ્ટ 2025ના રોજ કોલાસણા ગામના એક જાગૃત નાગરિકે મામલતદાર કચેરીને એક અરજી કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે, ગામના વિદેશમાં રહેતા પટેલ પ્રતિક્ષાબેન સંજયભાઈએ આધાર કાર્ડ મેળવવા માટેની સરકારી ગાઈડલાઈન મુજબ છેલ્લા એક વર્ષમાં 182 દિવસ ભારતમાં રોકાણ ન કર્યું હોવા છતાં તેમનું આધાર કાર્ડ બની ગયું છે. NRI મહિલા માત્ર 25 દિવસ જ ભારતમાં રોકાઈમામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ચંદ્રેશસિંહ રાઠોડ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોલાસણાના તત્કાલિન તલાટી-કમ-મંત્રી, સરપંચ અને અરજદારના સગા મયંકભાઈ મિસ્ત્રીના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, પ્રતિક્ષાબેન માત્ર 25 દિવસ જેટલો જ સમય ભારતમાં રોકાયા હતા અને ત્યારબાદ વિદેશ ચાલ્યા ગયા હતા. સરકારી ઠરાવ તા. 03/03/2023 મુજબ, આધાર કાર્ડ માટે છેલ્લા એક વર્ષમાં 182 દિવસનું ભારતમાં રોકાણ ફરજિયાત છે. આ શરત પૂરી ન થતી હોવાથી પ્રતિક્ષાબેનનું આધાર કાર્ડ બનવાપાત્ર ન હતું. તલાટી-કમ-મંત્રીએ પણ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અરજદાર હાલ વિદેશમાં હોવાથી ખરાઈ થઈ શકે તેમ નથી અને 'એનેક્ષર-1 નેગેટિવ' ભર્યો હતો. સમગ્ર કાંડમાં સરકારી પોર્ટલનો ઉપયોગ થયોઆધાર કાર્ડની અરજીની કામગીરી સરકાર દ્વારા નક્કી કરાયેલ 'Service Plus Portal' પર કરવામાં આવે છે, જેના યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મામલતદાર કચેરીને ફાળવવામાં આવ્યા છે. આ યુઝર આઈ.ડી. અને પાસવર્ડનો દુરુપયોગ કરીને પ્રતિક્ષાબેનના આધાર કાર્ડને મંજૂરી આપવામાં આવી હતી. આ મામલે NRI મહિલા સહિત બે આરોપીઓ સામે IT એક્ટ અને BNS હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રતિક્ષાબેને આધાર નોંધણી ફોર્મમાં પોતે નિવાસી ભારતીય હોવાનું ટીક કરીને અરજી કરી હતી. અપલોડ કરાયેલા પાન કાર્ડ અને અરજીના ફોર્મ પરની સહીઓમાં પણ વિસંગતતા જોવા મળી હતી. કાયદેસર રીતે તલાટી દ્વારા તપાસ કરાયેલો સહીવાળો 'એનેક્ષર-01' અપલોડ કરવાની જગ્યાએ, અધૂરી વિગતવાળું અને માર્જિનમાં કપાયેલું કોઈ અન્ય ફોર્મ અપલોડ કરાયું હતું. ઓપરેટરે સેકન્ડોમાં જ એપ્રૂવલ આપી દીધુંપોર્ટલ પર તપાસ કરતાં જણાયું કે, કોઈ અજાણ્યા ઈસમ (આરોપી નં.2 દ્વારા મામલતદાર કચેરીના લોગ-ઈન આઈ.ડી. માં ગેરકાયદેસર રીતે લોગ-ઈન કરવામાં આવ્યું. આ ઈસમે તા. 30 જૂન 2025ના રોજ વેરીફિકેશન રિપોર્ટ તૈયાર કર્યો અને માત્ર એક સેકન્ડ બાદ, અરજીને એપ્રૂવ પણ કરી દીધી. અરજી દરમિયાન પ્રતિક્ષાબેને પોતાના રેટીના અને ફિંગર સ્કેન કરાવી ફોટો પડાવ્યો હતો, જેમાં તેઓએ પોતે બિન-નિવાસી હોવા છતાં નિવાસી ભારતીય હોવાનું જણાવ્યું હતું. હજુ અન્ય લોકોના નામ ખુલી શકે છેઆ ગંભીર પ્રકારના કૃત્ય બદલ કલેક્ટર, નવસારીના આદેશથી ઊંડાણપૂર્વકની તપાસ માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ તેમજ તપાસમાં નીકળે તે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ-336(2), 336(3), 337, 338, 340(2), 45 તથા ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ-2000ની કલમ-43, 63, 66(સી) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 1:30 pm

હિંમતનગરમાં નવી 10-20 રૂપિયાની નોટોના બંડલનું વિતરણ:બેન્ક ઓફ બરોડા બહાર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી

હિંમતનગરમાં રિઝર્વ બેન્કની સૂચના મુજબ નવી 10 અને 20 રૂપિયાની નોટોના બંડલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરની બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખા બહાર આ નોટોના બંડલ લેવા માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ વિતરણ ડ્રાઇવના ભાગરૂપે, બેન્કના પ્રતિનિધિઓ દ્વારા આજે ફક્ત એક જ દિવસ માટે સવારે 11 થી સાંજના 4 વાગ્યા સુધી ગ્રાહકોને 10 અને 20 રૂપિયાના દરની નોટોનું એક-એક બંડલ આપવામાં આવી રહ્યું છે. આ માટે ગ્રાહકોનું આધારકાર્ડ ફરજિયાત રાખવામાં આવ્યું છે. બેન્ક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સવારે 11 વાગ્યે વિતરણ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં અંદાજે 200 ગ્રાહકો નોટોના બંડલ લઈ ગયા છે. હાલમાં પણ 100થી વધુ લોકોની લાઈન લાગી છે. અંદાજિત 200 ગ્રાહકોને 2 લાખ રૂપિયાના 10 રૂપિયાના દરના 200 બંડલ અને 4 લાખ રૂપિયાના 20 રૂપિયાના દરના 200 બંડલનું વિતરણ કરવામાં આવ્યું છે. વિતરણ પ્રક્રિયા હજુ ચાલુ છે. દરેક ગ્રાહકને આધાર કાર્ડ સામે 10 રૂપિયાનું એક અને 20 રૂપિયાનું એક બંડલ આપવામાં આવી રહ્યું છે. લાઈનમાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 1:24 pm

ભરૂચ SOGએ માંચ ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો:રૂ. 11.20 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો

ભરૂચ SOG પોલીસે નબીપુર નજીક આવેલા માંચ ગામમાં ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 11.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે માંચ ગામના જુના ભીલવાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનના વાડામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, વાડામાંથી 22.400 કિલો ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. આ ગેરકાયદેસર ખેતી પાછળ જીવણ વસાવા નામનો આરોપી સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. SOGએ તેને ઘટનાસ્થળેથી ઝડપી લીધો છે. તેની સામે નબીપુર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભરૂચ પોલીસ દ્વારા જણાવાયું છે કે, જિલ્લામાં નશાના જથ્થા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ અભિયાન ચાલુ રહેશે. આ મામલે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 1:24 pm

અમેરિકાની સંસદમાં PM મોદી અને પુતિનના ફોટોની ચર્ચા, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર ઉઠ્યા સવાલ

(IMAGE - IANS) Sydney Kamlager Dove slams Donald Trump: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથેની તાજેતરની તસવીરને ટાંકીને, અમેરિકી પ્રતિનિધિ સિડની કામલાગર-ડોવએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પ્રત્યેની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ચેતવણી આપી કે ટ્રમ્પની આ નીતિઓથી અમેરિકાને જ નુકસાન થશે.

ગુજરાત સમાચાર 11 Dec 2025 1:22 pm

અમદાવાદમાં શરદી, ખાંસી અને ઉધરસના કેસોમાં વધારો:સોલા હોસ્પિટલમાં ગયા અઠવાડિયે 14,152 દર્દીઓ OPDમાં નોંધાયા

અમદાવાદ શહેરમાં રોગચાળાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં રેકોર્ડબ્રેક 14 હજાર 152 દર્દીઓ OPDમાં નોંધાયા છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ શહેરમાં શરદી, ખાંસી અને ઉધરસના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે જ બેક્ટેરિયા જન્ય રોગોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 103 નમૂનાઓ લેવાયા, જેમાંથી 4 પોઝિટિવ આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે.મેલેરિયાના પણ 4 નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાંથી 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દૈનિક OPDમાં 150થી વધુ બાળ દર્દીઓ આ ઉપરાંત ડાયેરિયાના 33 કેસ અને હેપેટાઇટિસના 4 કેસ નોંધાયા છે. બાળકોમાં રોગની વધતી સંખ્યા જેમાં સોલા હોસ્પિટલમાં હાલ 50થી વધુ બાળકો સારવાર હેઠળ દાખલ છે. જ્યારે દરરોજ OPDમાં 150થી વધુ બાળ દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જેને કારણે તંત્રની ચિંતા વધી છે. શહેરમાં સવારે અને સાંજે પ્રદૂષણનું સ્તર ખૂબ ઊંચું અમદાવાદ શહેરમાં વધતા પ્રદૂષણની અસર પણ હવે દેખાઈ રહી છે. AQIનો આંકડો પણ વધી રહ્યો છે. જેના કારણે અસ્થમા અને ફેફસાં સંબંધિત રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સવારે અને સાંજે પ્રદૂષણનું સ્તર ખૂબ ઊંચું રહે છે. ડોક્ટરો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સવારે અને સાંજે બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરો. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ વધુ સાવચેતી રાખવી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 1:20 pm

ઓફિસમાં સાયકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો, CCTV:પહેલા ખુરશી પર ગળું દબાવી આડેધડ ઢીક્કા-મુક્કા માર્યા, વાળ પકડીને નીચે પાછાડી માથે કુદ્યો; દીકરી સામે ઢળી પડી

રાજકોટના શિતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં યુવતીને માર મારતા CCTV ફુટેજ સામે આવ્યા છે. યુવતીના ધંધાકીય ભાગીદાર મૌલિક નાદપરા નામના યુવકે ઢોર મારમાર્યો હતો. યુવતી અને માર મારનાર મૌલિકે પેકેજિંગ પ્રોડ્કટનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં યુવતીએ 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મૌલિકે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યા બાદ ધ્યાન ન આપતા વાતચીત દરમિયાન મૌલિકે યુવતીને ઢોર માર માર્યો હતો. મારામારીની આ ઘટના જૂન, 2025માં બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસમાં 9 ડિસેમ્બર, 2025ના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. મહિલાએ આરોપી સાથે લોન લઈ ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતોઆ અંગેની નોંધાવેવી ફરિયાદમાં 36 વર્ષીય મહિલાએ જણાવ્યું છે કે, મારે નોકરીની જરૂરીયાત હોવાથી વર્ષ 2021માં ઓનલાઇન જોબ એપ્લીકેશન મારફત મૌલીક પ્રફુલભાઈ નાદપરાનો સંપર્ક કર્યો હતો. મારે તેની સાથે ફોન ઉપર વાત પણ થઇ હતી અને ત્યારબાદ અમે બન્નેએ ભાગીદારીમાં ઓફિસ લઈને ધંધો કરવાનુ નક્કી કર્યું હતું. લોન લીધા બાદ તેના હપ્તા બન્ને સાથે ભરીશું તેવુ કહ્યું હતું, જેથી મેં લોન લઈને 2023માં 150 ફુટ રિંગ રોડ પર શીતલ્પાર્ક ચોકમાં ધ સ્પાયર ટુ નામની બિલ્ડિંગમાં ઓફિસ નં.913 લઈ અને પેકેજીંગ પ્રોડેક્ટનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારબાદ આ મૌલિક નાદપરાએ અમારા ધંધામા ધ્યાન આપવાનુ બંધ કરતા ધંધો ઓછો ચાલવા લાગ્યો હતો. હું તેને સમજાવતા તે મારી સાથે ઝઘડો કરી બોલચાલી કરતો હતો અને મને સલાહ આપતી નહીં તેવું કહેતો હતો. ધંધામાં ધ્યાન આપવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઈ મહિલા ફટકારીજૂન, 2025માં હું મારી ઓફિસ ખાતે હતી, ત્યારે બપોરના 12 વાગ્યા આસપાસ મૌલિકને મેં બેંકમાં આપણી લોનના હપ્તા ભરવાનુ ચાલુ છે, જેથી તું ધંધામા ધ્યાન આપ કહેતા મૌલિક ઉશ્કેલાઇ ગયો હતો અને મને ખરાબ ગાળો આપવા લાગ્યો હતો. બાદમાં મારા વાળ પકડી, ગળું પકડી નીચે પછાડી જેમફાવે તેમ ઢીકા-પાટાનો માર મારવા લાગ્યો હતો. સાથે જ ઓફિસમાં પડેલા પ્લાસ્ટીકના નાનો પાઇપ લાવી મને શરીરે માર્યો હતો. ત્યારબાદ મારા વાળ પકડી હવે કોઇ સલાહ ન આપતી બાકી જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બનાવ અંગે અરજી આધારે હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ બાળકીની નજર સામે માતાની મારીમહિલાના વર્ષ 2017માં લગ્ન થયા હતા અને ત્યરબાદ તેમને લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દીકરીનો જન્મ થયો હતો. જો કે, પતિ સાથે અણબનાવ થતા વર્ષ 2022માં પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હતાં. આ પછીથી મહિલા તેની દીકરી સાથે પોતાના માવતરે રહેતી હતી. ભાગીદાર મૌલિકે બાળકીની હાજરીમાં માર મારતા બાળકીની ઉપર પણ માનસિક અસર થવા પામી છે અને તે ડરી ગઈ હોવાનો મહિલાએ ઉલ્લેખ કર્યો છે. ધમકીથી કંટાણી મહિલાએ ફરિયાદ નોંધાવીજૂન મહિનામાં માર માર્યો હતો, ત્યારબાદ અવારનવાર રૂપિયા પરત આપી દેવા જાણ કરવામાં આવી હતી અને અરજી પાછી ખેંચી લેવા તેમજ સમાધાન કરવા દબાણ કરતો હતો. જો કે, થોડા દિવસ પૂર્વે ફરી રૂપિયા માંગણી કરતા બેફામ ગાળો ફોનમાં આપતા અંતે પોલીએ ફરિયાદ નોંધાવી છે. ઓફિસની અંદર બે વખત માર માર્યોના સીસીટીવીઉલ્લેખનીય છે કે, સીસીટીવી ફુટેજમાં ઓફિસની અંદર બે વખત માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પણ અનેક વખત માર મારવામાં આવ્યો છે અને ધમકી પણ અનેક વખત આપવામાં આવી છે. આરોપી મૌલિક વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ફરિયાદીએ માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 1:19 pm