SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

કાર્યવાહી:મોટા બાંધામાં લીઝની બહાર ગેરકાયદે થતું લાઇમસ્ટોન (બેલા)નું ખનન પકડાયું

તાલુકાના મોટા બાંધામાં લાઇમસ્ટોન ખનીજનું ખનન પકડાયું હતું જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લિઝની માપણી કરવામાં આવી છે. ભુજ તાલુકાના મોટા બાંધા ગામની સીમમાં આવેલ લાઈમસ્ટોનની લીઝમાં ખનન ચાલુ છે અને તે લીઝની બહાર ખોદકામ થતું હોવાની બાતમીના આધારે ભુજ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે લીઝની બહાર બે ટ્રક મળી આવી હતી. ટ્રક નંબર જીજે 13 વી 3754 તથા જીજે 18 યુ 6384માં લાઈમસ્ટોન (બેલા) ભરેલા હતા.જેની રોયલ્ટી લિઝધારક પાસે ન મળી આવતા લીઝની માપણી કરવા માટે ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકે બોલાવી લિઝની માપણી કરાવી આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે હાલ બંને ટ્રકને પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:58 am

કચ્છનું ગૌરવ:પાન્ધ્રોની ડૉ. ડિમ્પલે 14 નવી દરિયાઇ પ્રજાતિ શોધી : એકનું નામ કચ્છ પરથી રાખ્યુ બિબ્લીસ કચ્છેન્સિસ !

આજે જ્યારે દીકરીઓ આકાશ આંબી રહી છે, ત્યારે કચ્છના ગ્રામ્ય વિસ્તારની એક દીકરીએ દરિયાના ઊંડાણમાં છુપાયેલા રહસ્યો ઉકેલીને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જુલોજી વિભાગની સંશોધક ડૉ. ડિમ્પલ ઠક્કરે ‘એમ્ફીપોડ’ (દરિયાઈ જીવ) પર સંશોધન કરી વિજ્ઞાન જગતમાં નવી પ્રજાતિ શોધી વિશ્વ ફલેક પર ગુજરાતની નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ્ફીપોડ એ દરિયામાં પથ્થરો અને લીલ વચ્ચે રહેતા અત્યંત સૂક્ષ્મ માત્ર 1 થી 2 સેન્ટીમીટર કદના જીવો છે. ડૉ. ડિમ્પલ ઠક્કરે તેમના માર્ગદર્શક ડૉ. જિગ્નેશકુમાર ત્રિવેદી સાથે મળીને 2021 માં પોતાનું સંશોધન ચાલુ કર્યું ત્યારે ગુજરાત માં થી એમ્ફીપોડ ની ફક્ત એક જ પ્રજાતિ નોંધાઈ હતી અને 2025 માં તેમના સંશોધન ના અંતે કુલ 20 પ્રજાતિ ઓ ની ઓળખ કરી છે. ડૉ. ડિમ્પલે તેમના સંશોધન સમય દરમિયાન ગુજરાત તેમજ બંગાળ ની ખાડી ના દરિયાઈ વિસ્તારો માંથી એમ્ફીપોડ ની 14 નવી પ્રજાતિ અને 1 નવી જાતિ ચિલીકોરચેસ્ટિયા ની શોધ કરી છે.જેમાં ગુજરાત માંથી એમ્ફીપોડ ની 10 નવી પ્રજાતિ શિવરાજપુર, ઓખા, વેરાવળ, ગોપનાથ તેમજ દાંડી ના દરિયા કિનારે થી મળી આવી હતી. આ પ્રજાતિ ના નામકરણ ગુજરાતના નામે આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા કરવામાં આવીછે. નવી પ્રજાતિની શોધને વતનની ઓળખ સાથે જોડી :નવી પ્રજાતિઓના નામ ગુજરાતના જે વિસ્તારો માંથી મળ્યા તે વિસ્તારના નામ પરથી નામ રાખ્યા, જેેમાં ; { બિબ્લીસ કચ્છેન્સિસ (કચ્છના નામ પરથી) { ટેલોરચેસ્ટિયા દાંડી (ઐતિહાસિક દાંડીના નામ પરથી) { ક્વાડ્રીમેરા ઓખા (ઓખાના નામ પરથી) { મેરા ગુજરાતેન્સિસ (ગુજરાતની અસ્મિતા પરથી) કચ્છના નાના ગામડામાંથી વિશ્વ કક્ષાની વૈજ્ઞાનિક બનીકચ્છના મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી ડૉ. ડિમ્પલ રામજીભાઈ ઠક્કર જેની ઉંમર 27 વર્ષ છે. જે એકતાનગર, પાનધ્રો, કચ્છમાં જન્મી હતી. સુવિધા વગરના નાનકડા ગામમાં અભ્યાસ બાદ સંશોધન ક્ષેત્રે આ સફર સરળ નહોતી. ભરતી-ઓટ વચ્ચે કાદવ અને પથ્થરો ખૂંદીને નમૂના એકઠા કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હતી. 5 વર્ષના સંઘર્ષ બાદ થયેલા આ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકૃતિ મળી છે.પ્રસિધ્ધ વિદેશી જર્નલમાં પ્રકાશિત થયું છે.ડૉ. ડિમ્પલની આ સફળતા આજે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હજારો યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય, તો કચ્છના નાના ગામડામાંથી પણ વિશ્વ કક્ષાના વૈજ્ઞાનિક બની શકાય છે. કચ્છનું ગૌરવ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:57 am

ઉત્સવની તૈયારી:માંડવી બીચ ફેસ્ટીવલમાં લેઝર લાઈટ શો, લાઈવ મ્યુઝીક, દરિયાઇ રમતો સહિતના રહેશે મુખ્ય આકર્ષણ

કચ્છમાં માંડવીના રમણીય દરિયાકિનારે 11 દિવસીય બીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21 ડિસેમ્બર રવિવારથી થર્ટી ફર્સ્ટ સુધી આયોજિત ફેસ્ટિવલમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.રવિવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આ બીચ ફેસ્ટીવલ ખુલ્લો મુકવામાં આવશે. માંડવી બીચ પર સુંદર સમુદ્ર તટ, શાંત તરંગો પર્યટકોને અનોખો અનુભવ આપે છે. વિજય વિલાસ મહેલ અને પરંપરાગત જહાજ નિર્માણ કલા અહીંના વૈભવનો ભાગ છે. બીચ પર સૂર્યાસ્તના નજારા અને સ્થાનિક સંસ્કૃતિ સાથેનો સંગમ આ સ્થાનને કચ્છના સર્વોચ્ચ આકર્ષણોમાં સ્થાન અપાવે છે. બીચ ફેસ્ટિવલ દરમ્યાન પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ કલ્ચરલ પ્રોગ્રામ યોજાશે. સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઈટમાં પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકારો અને રાઈઝિંગ સ્ટાર્સ બેન્ડને આમંત્રિત કરાયેલા છે. આ ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, ઝોર્બિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ, કેમલ રાઈડિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે. સાથે જ વોલીબોલ, સોકર અને ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ, સેન્ડ આર્ટ, બોન ફાયર, લાઈવ મ્યુઝિક, સ્ટાર ગેઝિંગ અને લેઝર લાઈટ શો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. પ્રવાસીઓ માટે ક્રાફ્ટના 10 સ્ટોલ અને ફૂડના 10 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત મેડિકલ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સિક્યોરિટી સર્વિસ અને ટોઇલેટ બ્લોક સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.રવિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બીચ ફેસ્ટીવલ ખુલ્લો મુકવા આવશે તેમ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે આ સાથે રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીચ ફેસ્ટિવલ દ્વારા કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશે તેમજ સ્થાનિક સંસ્કૃતિ, કલા અને અર્થતંત્રને પણ વેગ મળશે. ફાઇલ તસવીર મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બીચ ફેસ્ટીવલ ખુલ્લો મુકવા આવશે તેમ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે આ સાથે રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીચ ફેસ્ટિવલ દ્વારા કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશે તેમજ સ્થાનિક સંસ્કૃતિ, કલા અને અર્થતંત્રને પણ વેગ મળશે. { રોપ ક્લાઇમ્બિંગ, ઝોર્બીંગ, ટગ ઓફ વોર, બર્મા બ્રીજ વગેરે પ્રવૃત્તિ થશે

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:55 am

પાટીલ-બોઘરાના અજબ બોન્ડિંગની ગજબ વાત:દેવાયત ખવડ કડીના મામલતદારને મળવા કેમ ગયા?, કોંગ્રેસના નેતાએ નારો લગાવ્યો, જવાબમાં કાર્યકરોએ ભાંગરો વાટ્યો

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:55 am

સિટી એન્કર:ભુજમાં અંદાજે 5 હજારથી વધુ સ્થળાંતરિત પરિવારો વસે છે

દર વર્ષે 18 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરિત દિવસ ઉજવાય છે તે પૂર્વે ભુજની સંસ્થા દ્વારા કરાયેલી મોજણીમાં ભુજમાં અંદાજે 5 હજારથી વધુ સ્થળાંતરિત પરિવારો વસે છે તેવું તારણ બહાર આવ્યું છે. ભુજની સ્થાનિક સંસ્થા અર્બન સેતુ દ્વારા થયેલા સરવે મુજબ આ પરિવારો બાંધકામ, હોટલ-રેસ્ટોરેન્ટ, સફાઈ, ટ્રાન્સપોર્ટ, નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રમાં દિવસ-રાત મહેનત કરે છે. શહેરની વિકાસયાત્રામાં તેમનું યોગદાન નોંધપાત્ર છે, પરંતુ પાણી, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને રહેઠાણ જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા સ્થળાંતરિત પરિવારો અસ્થાયી વસાહતોમાં રહે છે, જ્યાં શુદ્ધ પાણી અને શૌચાલયની પૂરતી સુવિધા નથી. બાળકોના શિક્ષણમાં સતત સ્થળાંતર અને દસ્તાવેજોની અછત મોટી અડચણ બની રહે છે. શ્રમિકો માટે શૌચાલયની જરૂરિયાતનું મહત્વ સમજીને તેમજ મહિલાઓ-બાળકો અને ભુજના પર્યાવરણની ચિંતા સેવતા એક સમાજ સેવીકાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી દાખલ કરી હતી ! આ જાહેર હિતની અરજી સંદર્ભે ગત ડીસેમ્બર 2023નાં રોજ ગુજરાત હાઈકોર્ટે ઇન્ટરીમ ઓર્ડરમાં જણાવ્યું હતું કે; “દરેક નગરપાલિકાએ તેમના શહેરોમાં શૌચાલયની સુવિધા પૂરી પાડવી ફરજીયાત છે આ જન આરોગ્ય સાથે સંકળાયેલી બાબત હોવાથી આ સંદર્ભે ભંડોળ ના હોવાનું બહાનું આપી શકાય નહિ.” આ સ્થિતિમાં અર્બન સેતુ જેવી સંસ્થાઓ સ્થળાંતરિત પરિવારોને દસ્તાવેજીકરણ, સરકારી યોજનાઓ સાથે જોડાણ, આરોગ્ય અને શિક્ષણ અંગે માર્ગદર્શન આપીને તેમની જીવનશૈલી મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. સ્થાનિક સ્તરે આવી સંસ્થાઓ સ્થળાંતરિત સમુદાય અને શહેરી શાસન વચ્ચેનો પુલ બની રહી છે. શૌચાલયની અરજી કરી પણ બન્યા નહીંભુજ શ્રમિક સંગઠનના સભ્ય વિષ્ણુબાઈએ ગત જૂન-2023માં પીએમોના ઓનલાઈન પોર્ટલ પર સામુદાયિક શૌચાલય માટે સરકાર સમક્ષ અરજી કરી હતી પરંતુ આજ સુધી શૌચાલયની પ્રતિક્ષા કરી રહેલા શ્રમજીવીઓ વતી વિષ્ણુબાઈ કહે છે કે તાજેતરમાં અખબારોમાં સમાચાર છપાયા છે કે સરકાર ભુજમાં 175 લાખનો માતબર ખર્ચ કરીને સેન્સરવાળાં શૌચાલય બનાવશે. જો આટલા બધા રૂપિયા જુના શૌચાલયની મરામત માટે સરકાર પાસે છે તો પછી છેલા 2 વર્ષથી અમારા વંચિત વિસ્તારો માટે આવું ઓરમાયું વર્તન શા માટે?

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:51 am

ફરિયાદ:ગૂગલ રિવ્યુના નામે ઘરે બેઠા પૈસા કમાવાનું કહી 9.37 લાખની ઠગાઈ

તાલુકાના મીરજાપરમાં રહેતા યુવાન સાથે ઓનલાઈન ઠગાઈ થતા સાયબર પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મૂળ મોટા આસંબીયાના હાલે મિરજાપરમાં રહેતા ફરિયાદી દેવ પ્રીતેશભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગત 24-11ના તેને ટેલિગ્રામ એપ પર મેસેજ આવ્યો હતો જેમાં ગુગલ રિવ્યુ મેનેજમેન્ટના એચ આર મેનેજરની ઓળખ આપી ગૂગલ મેપ પર હોટલોને ફાઇવ સ્ટાર રેટિંગ આપી 160 જોઇનિંગ બોનસ મેળવી શકશો અને ઘરે બેઠા 5000 રૂપિયા કમાઈ શકશો તેવી વાત કરવામાં આવી હતી. ટેલિગ્રામ આઈડી ધારક દ્વારા અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હતા અને ટાસ્ક મુજબ રકમ જમા કરાવી હતી આ રકમ ડિજિટલ વોલેટમાં જમા થતી હોવાનું કહ્યું હતું અને ફરિયાદીએ અલગ અલગ યુપીઆઈ મારફતે કુલ 9,37,732 જમા કર્યા હતા અને ક્રિપ્ટો કરન્સી વોલેટમાં આ રકમ દેખાતી હતી. પૈસાની જરૂરિયાત હોતા પૈસા ઉપાડવા માટેના વિકલ્પ પર ક્લિક કરતા ક્રેડિટ સ્કોર ડાઉન હોવાનું જણાવ્યું હતું જેથી ચાર્જ ભરવો પડશે તેમ કહ્યું હતું અને રૂપિયા ઉપડ્યા ન હતા. ફરિયાદીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનું જણાઈ આવતા ઓનલાઈન સાઈબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ ગુનો દાખલ કરાવાયો છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:50 am

સિટી પોલીસે 5.16 લાખના દાગીના રિકવર કર્યા:ભંગારની લારીની ફેરી કરી બંધ મકાનમાં ચોરી કરતાં શખ્સો પકડાયા

શહેર એ ડિવિઝન પોલીસમાં જૂન અને ઓક્ટોબર મહિનામાં નોંધાયેલા ઘરફોડ ચોરીના બનાવમાં બે શખ્સને ઝડપી લેવાયા હતા. ચોરી કરનાર અંજારના ભગતસિંહનગરના હીરા રમેશ વડેચા અને મુદ્દામાલ વેંચનાર ભુજની રામનગરીના ભરત કમલેશ દેવીપૂજકને પકડી સોનાનું મંગળસૂત્ર, હાર, બૂટી અને વીંટી મળી 5.16 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો હતો. ચોરી કરનાર સહ આરોપી બાબુ ઉર્ફે બબુ કેશાભાઇ કુંવરિયા હાજર મળી આવ્યો નથી. હીરા સામે ભુજ, વીંછિયા અને ધોરાજી પોલીસમાં પાંચ ગુના નોંધાયેલા છે. શહેરી વિસ્તારમાં ભંગારની લારીની ફેરી કરી બંધ મકાનમાં તક જોઇ આરોપીઓ ચોરી કરતાં હતા. એ ડિવિઝન પીઆઇ એ. એમ. પટેલના માર્ગદર્શનમાં આ કામગીરીમાં પીએસઆઇ આર. જે. ગોહિલ તથા સ્ટાફના ભરતજી ઠાકોર, રાજુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લાખાભાઇ બાંભવા, કૈલાશભાઇ ચૌધરી, દશરથભાઇ ચૌધરી, મુકેશભાઇ તરાલ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:48 am

રતનાલ પાસે જર્જરિત લાઈન બદલવામાં જળનો જથ્થો મળતો નથી:આજે ત્રીજે દિવસે પાણી મળશે તો મળશે

ભુજ શહેરને નર્મદાના પાણી આપતી જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની પાઈપ લાઈન રતનાલ પાસે જર્જરિત થઈ ગઈ હતી. જેને બદલવાનું કામ મંગળવારથી ચાલે છે અને આજે ગુરુવારે પૂરું થાય એવી શક્યતા છે. અંજારથી કુકમા વાયા રતનાલ થઈને નર્મદાની મુખ્ય લાઈન પસાર થાય છે, જેમાંથી ભુજ શહેર અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને પેયજળ પૂરું પાડવામાં આવે છે. કુકમા સમ્પે પાણી આવે પછી ત્યાંથી ભુજીયા સમ્પે અને ત્યાંથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઓવરહેડ અને અન્ડર ગ્રાઉન્ડ ટાંકા મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ લોકોના ઘરે નળ વાટે પાણી આવે છે. જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની રતનાલ પાસે નર્મદાની મુખ્ય લાઈન અવારનવાર તૂટી જતી હતી, જેથી આખી લાઈન બદલવામાં આવી રહી છે. જેના પગલે મંગળવારથી નર્મદાના પાણી નગરપાલિકાના ટાંકામાં પહોંચ્યું નથી. ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર અને વોટર સપ્લાય ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે પાણી મળી ગયા બાદ વિતરણ શરૂ થશે એટલે તમામ સપ્લાય ઠેલાઈ ગઈ છે. જોકે, શિયાળાના કારણે હજુ સુધી ફરિયાદ આવી નથી. પરંતુ, લોકોએ કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અનુરોધ છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:46 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ખાવડા-હાજીપીર 128 કિમીનો રસ્તો 300 કિમી જેવો આકરો

કચ્છ જિલ્લો છેલ્લા એક દાયકામાં પ્રવાસન ઉદ્યોગના ક્ષેત્રે નોંધનીય પ્રગતિ કરી રહ્યો છે. રણોત્સવ, માતાનામઢ, કોટેશ્વર, નારાયણ સરોવર, ધોળાવીરા, માંડવી બીચ, સફેદ રણ સહિતના સ્થળોએ દેશભરના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પરંતુ આ પ્રવાસન વિકાસને આધાર આપતા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સ્થિતિ ખાસ કરીને સરહદી વિસ્તારોમાં અત્યંત દયનીય બની ગઈ છે. જીપીએસ આધારિત મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ખાવડા–હાજીપીર–ઘડુલી માર્ગ એક મોટી યાતના સાબિત થઈ રહ્યો છે. પ્રવાસીઓ જ્યારે માતાનામઢ અથવા કોટેશ્વર જવા માટે જીપીએસ પર આધાર રાખે છે ત્યારે તેઓ ખાવડા રોડના ભારે ટ્રાફિકથી બચવા ધોરડો ચોકડીથી ઉધમા ચેક પોસ્ટ થઈને હાજીપીર તરફ વળે છે. પરંતુ અહીંથી તેમની મુશ્કેલી શરૂ થાય છે. ખાવડા–હાજીપીર–ઘડુલી રસ્તો હાલમાં કચ્છનો સૌથી વધુ જર્જરિત માર્ગ થઈ ગયો છે. એક- એક ફૂટના ખાડાઓ, ઉડતી ધૂળ અને મીઠાનું વહન કરતા ભારે વાહનોને કારણે આ માર્ગ પર વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. પાટણથી આવેલા અમૃતભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ જીપીએસ બતાવેલા માર્ગ પરથી ભુજથી ધોરડો સુધી સરળતાથી પહોંચી ગયા, પરંતુ ખાવડા રોડનો ટ્રાફિક ટાળવા ધોરડોથી કોટેશ્વર તરફ વળ્યા ત્યારથી હાલત કફોડી બની ગઈ. ધોરડો ચોકડીથી હાજીપીર સુધીના માત્ર 36 કિલોમીટરનો રસ્તો પાર કરવા બે કલાક જેટલો સમય લાગી ગયો. ત્યારબાદ ઝારા વ્યુ પોઇન્ટ, ધારેશી, ફૂલરા અને પાનધ્રો થઈને કોટેશ્વર પહોંચતા સુધી આખો પરિવાર સંપૂર્ણ રીતે થાકી ગયો હતો. કુલ 128 કિલોમીટરની મુસાફરી જાણે 300 કિલોમીટર જેટલી લાંબી અને થાકાવનારી લાગી હતી. આવા જ હાલ થયા હતા હળવદથી આવેલા ગોહિલ પરિવારના. તેમણે જણાવ્યું કે કોટેશ્વરથી માતાનામઢ થઈ ધોરડો પહોંચવા માટે બે વિકલ્પ હતા – એક 211 કિલોમીટરનો અને બીજો 128 કિલોમીટરનો. ઓછા અંતરના માર્ગને પસંદ કર્યો, પરંતુ રસ્તાની દયનીય હાલતને કારણે મુસાફરી અત્યંત કષ્ટદાયક બની ગઈ. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવો હોય તો માત્ર પ્રચાર પૂરતો નથી, પરંતુ માર્ગ વ્યવસ્થા સુધારવી અનિવાર્ય છે. જો સમયસર ખાવડા–હાજીપીર જેવા સરહદી માર્ગોનું પુનર્નિર્માણ નહીં થાય, તો કચ્છનું પ્રવાસન વિકાસ પાથરતું સ્વપ્ન પ્રવાસીઓ માટે યાતનામાં પરિવર્તિત થઈ જશે. ખાવડાથી કાઢવાંઢ 21 કિમી માર્ગ સિંગલ લેનખાવડા ચોકડી થી હાજીપીર માર્ગો જર્જરીત છે તો ખાવડા થી કાઢવાંઢ રોડ ટુ હેવન તરફ જતો માર્ગ 21 કિમીનો માર્ગ સિંગલ લેન હોવાથી પ્રવાસીઓ માટે મુશ્કેલી સર્જે છે. ભારે વાહનો તેમજ રોજિંદા ચાલતા સ્થાનિક વાહનો આવે ત્યારે રોડ સાઈડ ઉતારવાને બદલે સામે ઉપર આવી જતા પ્રવાસી ફરજિયાત ધૂળમાં ગાડી ઉતારવી પડે. રસ્તાની લેવલ ઊંચી હોવાથી જોખમી બની જાય. અમુક ગામોએ માર્ગ પરના બમ્પની બાજુમાં પથ્થરો ગોઠવી દીધા હોવાથી રાત્રે વધુ મુશ્કેલી પડે છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:45 am

ઓપરેશન મ્યુલ હંટ:નિઝામપુરાના યુવકે અનધિકૃત વ્યવહારો માટે 3 બેંકમાં ખાતા ખોલ્યા

સીઆઈડી અને આઈ4સી દ્વારા ઓપરેશન મ્યુલ હંટ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસને 250થી વધુ શંકાસ્પદ બેંક ખાતાની માહિતી આપવામાં આવી છે. જેમાં એકાઉન્ટ ધારકને કમિશન આપી ઓનલાઇન છેતરપિંડીથી મેળવેલા રૂપિયા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી વ્યવહાર કરે છે. ત્યારે શહેરમાં વધુ 7 ગુના નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પાસે 250થી વધુ શંકાસ્પદ ખાતાની માહિતી, તપાસ શરૂ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:43 am

રહસ્ય:સમા તળાવ પાસે સગીર બાઈક ચાલકનું બાઈક સ્લીપ થતાં મોત, માથે એલ આકાર ઈજાનું નિશાન તપાસનો વિષય

તુલસીવાડીમાં રહેતો 15 વર્ષીય સગીર ઘરમાં કોઈને કહ્યા વગર મિત્ર સાથે પિતાનું બાઈક લઈને જતો રહ્યો હતો. સમા તળાવ પાસે બાઈક સ્લીપ થતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ મોત થયું હતું. મંગળવારે રાત્રે વધુ એક અકસ્માત થયો હતો, તુલસીવાડીમાં રહેતો 15 વર્ષીય હિતેન્દ્ર પરમાર મંગળવારે રાત્રે ઘરે પરિવાર સાથે ભોજન લીધા બાદ ઘરમાં કોઈને કહ્યા વગર બહાર જતો રહ્યો હતો. રાત્રે ઘરે ન આવતા તેનો ભાઈ રાહુલ ઘરની બહાર તપાસ કરવા આવ્યો હતો. રાત્રીના દોઢ વાગ્યા સુધી તે ઘરે ન આવતા રાહુલે ફરી ફોન કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી જણાવ્યું હતું કે, આ મોબાઈલના માલિકનો સમા તળાવ પાસે અકસ્માત થયો છે અને તેનું મોત થયું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, સગીરનું બાઈક સ્લીપ થઈ જતાં આ અકસ્માત થયો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, હિતેન્દ્રના માથામાં એલ આકારનો ઊંડો ઘા છે. અકસ્માત થયો ત્યાં એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી માથામાં કોઈ નિશાન પડી શકે. જેથી આ પોલીસ તપાસનો વિષય છે. પોલીસે આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. મિત્રે ના પાડી તેમ છતાં આગ્રહ કરીને બાઈક લઈને દુમાડ ચોકડી મૂકવા ગયો, સમા તળાવ પાસે અકસ્માતરાત્રીના 9 વાગ્યે હિતેન્દ્રનો એક મિત્ર તેને બોલાવવા આવ્યો હતો. જેથી તે ઘરમાં કોઈને કહ્યા વગર તેના પિતાનું બાઈક લઈને ઘરેથી જતા રહ્યા હતા. થોડો સમય તેઓ કિશનવાડી બેઠા હતા. મિત્ર દુમાડ ચોકડી રહેતો હોવાને કારણે મિત્રએ હિતેન્દ્રને કહ્યું હતું કે, તે રિક્ષામાં જતો રહેશે પણ હિતેન્દ્રએ આગ્રહ કર્યો હતો કે, હું તને બાઈક પર ઘરે મૂકી જઉ છું. જેથી તેઓ બાઈક લઈને દુમાડ ચોકડી ગયા હતા. હિતેન્દ્ર મિત્રને દુમાડ ચોકડી મૂકીને ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે સમા તળાવ પાસે અકસ્માત થયો હતો. જન્મદિવસના 17 દિવસના પહેલા જ મોત થઈ ગયુંહિતેન્દ્રનો જન્મદિવસ 3 જાન્યુઆરી હતો. આવનાર 3 તારીખે તે 16 વર્ષનો થવાનો હતો. જોકે તેના 16માં જન્મદિવસના 17 દિવસ પહેલા જ તેનું મૃત્યુ થઈ જતા પરિવારમાં શોકનો મહોલ છવાયો હતો.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:39 am

ઠગાઈના આરોપીઓ ઝડપાયા:સોનું-લોન અપાવવાના બહાને 4.95 કરોડની ઠગાઈ, વોન્ટેડ 2ની ધરપકડ

સસ્તામાં સોનું તેમજ લોન અપાવવાના બહાને રૂા.4.95 કરોડની ઠગાઈના ગુનામાં વોન્ટેડ બે આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, સસ્તા સોનાની લાલચ આપી ઠગતી ટોળકીના ઈલ્યાસ અજમેરીને ક્રાઈમ બ્રાંચે વર્ષ 2022માં પકડી પાડ્યો હતો. જ્યારે ઈલ્યાસ જ રાજવીર પરીખનું નામ ધારણ કરીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે, માર્ચ-2025 દરમિયાન કર્ણાટકમાં ઈ કોમર્સનો વિઝનેસ કરતા મંજૂ.આર.રવિ ઈ-બાઈકના શોરૂમના ઓપનિંગમાં બ્રોકર ચિંતનને મળ્યાં હતાં. ચિંતને વેપારીને જણાવ્યું હતું કે, વડોદરામાં ઓછા ભાવે સોનું તેમજ લોન અપાવે છે. વેપારી ચિંતન સાથે અક્ષરચોકની સિગ્નેટ હબમાં વિશાલ બારડની ઓફિસે ગયા હતાં. જ્યાં વિશાલે રૂા.10 લાખ લઈ 100 તોલાના સોનાના બિસ્કીટ આપ્યાં હતાં. ત્યારબાદ રૂા.10 કરોડની લોનની લાલચ આપીને રૂા.31 લાખ લઈ અલકાપુરી ખાતે આવેલી રાધે એન્ટરપ્રાઈઝ નામની રાજવીર ઉર્ફે ઈલ્યાસની ઓફિસે લઈ ગયા હતાં. જ્યાંથી વેપારી પાસેથી રૂા.4.80 કરોડ પડાવી લીધા હતાં. જેમાં નયના અને ભાવેશ પરમાર પણ આ છેતરપીંડીમાં સામેલ હતાં. જોકે આ સમગ્ર મામલે ઠગતી ટોળકીના ઈલ્યાસ અજમેરીને ક્રાઈમ બ્રાંચે વર્ષ 2022માં પકડી પાડ્યો હતો. જ્યારે ઈલ્યાસ જ રાજવીર પરીખનું નામ ધારણ કરીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. ધરપકડ કરાયેલા આરોપીના નામ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:37 am

SIR:26.89 લાખ મતદારોમાંથી 21.85 લાખ ફોર્મ ડિજિટલાઈઝ થયા

એસઆઈઆરની કામગીરીમાં ફોર્મની વહેંચણી અને તેને ડિજીટલાઈઝ કરવાની કામગીરીનો તબક્કો પુરો થઈ ગયો છે. જેમાં 10 વિધાનસભામાં કુલ 26.89 લાખ મતદારો સામે 21.85 લાખ મતદારોના ફોર્મ ડિજીટલાઈઝ કરાયા હતાં. જેમાં સૌથી વધુ માંજલપુર વિધાનસભામાં 78 ટકા ફોર્મનું ડિજીટલાઈઝેશન પુરૂ થયું છે. બીજી તરફ 1.46 લાખ મતદારોનું મૃત્યું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે 97,769 મતદારોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અને 2.25 લાખ મતદારો અન્ય સ્થળે શિફ્ટ થઈ ગયા હોવાનું પણ તંત્રના ધ્યાને આવ્યું હતું. કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામા હાલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીનો પ્રથમ તબક્કો પુરો થયો છે, અને આગામી તબક્કામા મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ,હક્ક દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તેમજ નોટીસ આપવાનો તબક્કો, ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવાની કામગીરી શરૂ થશે. 10 વિધાનસભામાં કુલ 26.89 લાખ મતદારો સામે 21.85 લાખ મતદારોના ફોર્મ ડિજીટલાઈઝ કરાયા હતાં. 1.46 લાખ મતદારોનું મૃત્યું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:36 am

ઠગાઈ:ક્રેડિટ કાર્ડની સર્વિસ હટાવવાના બહાને ભેજાબાજે એપીકે લીંક મોકલી ~1.36 લાખ ટ્રાન્સફર કરી લીધા

ક્રેડિટ કાર્ડની ઈન્ટરનેશલ સર્વિસ હટાવવાના બહાને ભેજાબાજે આજવા રોડના યુવકને કસ્ટમર સપોર્ટ એપીકે લીંક મોકલીને ક્રેડિટ કાર્ડની માહિતી લઈ લીધી હતી. ત્યારે અડધો કલાક બાદ જ ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.36 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ મહારાષ્ટ્ર અને હાલ આજવા રોડ ડેવડેક સોસાયટીમાં રહેતો અમન સંતોષ ગુપ્તા એલએન્ડટી કંપનીમાં નોકરી કરે છે. ઓગસ્ટમાં અમનને એક વ્યક્તિે ફોન કરીને જણાવ્યું હતું કે, હું એસબીઆઈ બેંકમાંથી બોલું છું. તમારા બે ક્રેડિટ કાર્ડ પર ઈન્ટરનેશનલ સર્વિસ ચાલુ છે, જે હટાવવા તમારે રૂ.5 હજારનો ચાર્જ લાગે છે. ક્રેડિટ કાર્ડને સંલગ્ન માહિતી ઈનપુટ કરી હતી. તેના અડધો કલાક બાદ જ એક ક્રેડિટ કાર્ડમાંથી રૂ.71 હજાર અને બીજામાં રૂ.69 હજાર મળીને કુલ રૂ.1.36 લાખ કપાઈ ગયા હતા. અમન દ્વારા સાયબર હેલ્પ લાઇન પર ફરિયાદ નોંધાવી હતી. ઓટીપી, સહિતની માહિતી ગુપ્ત રાખો

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:35 am

સિટી એન્કર:બાસ્કેટબોલમાં વડોદરાની મજબૂત ટીમ સામે રમવાનું આવતાં આણંદની ટીમ આખી ટુર્નામેન્ટ છોડીને જતી રહેતાં હોબાળો

વડોદરાની નવરચના સ્કૂલ ખાતે બાસ્કેટબોલની ઝોનલ કક્ષાની સ્પર્ધાના રાઉન્ડ હતા. ત્યારે વડોદરા સિટીની મજબૂત ટીમ સામે રમવાનું આવતાં આણંદની ટીમ વિરોધ નોંધાવી ટુર્નામેન્ટ છોડીને જતી રહેતા હોબાળો સર્જાયો હતો. આ શરમજનક ઘટનાની વિગત એવી છે કે, સવારે ઝોનલ ટુ્ર્નામેન્ટના પ્રાથમિક રાઉન્ડ્સ હતા. સૌ ટીમોના મેનેજરોની હાજરીમાં ડ્રો થયા હતા. ત્યારે માત્ર 4 ટીમો જ હતી. ડ્રો થયાના 5 મિનિટમાં જ મોડી પડેલી ખેડાની ટીમ આવી હતી. નિયમ મુજબ ડ્રો ફરી કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. તેથી ફરી બધી જ ટીમોના મેનેજર્સને બોલાવીને સૌની હાજરીમાં ડ્રો થયા અને ચિત્ર પલટાઇ ગયું હતું. કારણ કે દરેક ટીમોની વિરોધી ટીમો બદલાઇ ગઇ હતી. આણંદ સામે વડોદરા સિટીની ટીમને મેચ રમવાની હતી. આ માટે આણંદની ટીમના મેનેજરે સહી કરી હતી. જોકે વડોદરા સિટીની ટીમ સામે મેચ રમવાની આવવાની જાણ થતાં જ ટીમના એક જક્કી સભ્યએ વિરોધ નોંધાવ્યો હતો અને બીજીવાર ડ્રો માન્ય નથી એમ જણાવી વિરોધ કર્યો હતો. આ વિશે રમતગમત અધિકારી વિસ્મય વ્યાસે જણાવ્યું કે, ઘટનાની જાણ કરાઇ છે અને લેખિતમાં બાસ્કેટ બોલ એસોસિયેશનના પદાધિકારીઓએ આપ્યું છે કે, આણંદની ટીમનો વિરોધ વાજબી ન હતો. અમે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતને રિપોર્ટ કર્યો છે. બાસ્કેટ બોલ એસોસિયેશનના એક પદાધિકારીએ જણાવ્યું કે, આણંદની ટીમના એક જ સભ્યની આડોડાઇને લીધે ટીમને બીજીવાર નીચાજોણું થયું છે. 2 વર્ષ પહેલા આણંદની ટીમે પાટણમાં હાર બાદ મહેફિલ યોજીને માથાકૂટ કરી હતી2 વર્ષ પહેલા પાટણમાં સ્ટેટ ચેમ્પિયનશિપમાં આણંદની જ એક ટીમના પાટણકાંડની ચર્ચા વહી હતી. આણંદની ટીમ પાટણમાં હાર ખમી ન શકતાં જ્યાં રોકાઇ હતી ત્યાં મહેફિલ યોજી છાટકા થયા બાદ ટીમના કોઇએ ચોકીદારને એલફેલ બોલ્યાં હતા. એક ખેલાડીની આગેવાનીમાં જક્કી વલણ સભ્યોએ રાખતાં પોલીસને બોલાવવી પડી હતી. ટીમના કેટલાકે વૈભવી કારમાં ભાગવાની કોશિશ કરી હતી પણ ચોકીદારે ગેટ બંધ કરતાં ઝબ્બે થયા હતા. તેમાં સામેલ ખેલાડી વડોદરાના હોબાળામાં હતા.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:32 am

કાર્યવાહી:ગોરવા મધુનગરમાં પાલિકાના પ્લોટ ઉપર બાંધેલા મદ્રેસા-17 ઘરના દબાણ હટાવાયા

શહેરના ગોરવા મધુનગર ચાર રસ્તા નજીક 24 મીટરની રોડલાઇન ખુલ્લી કરવા પાલિકાએ દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જેમાં પાલિકાના પ્લોટ પરથી 35થી 40 વર્ષ જૂના 17 મકાન અને મદ્રેસાનું દબાણ તોડી પડાયું હતું. 11મીએ થયેલા ડ્રોમાં મકાનોની ફાળવણી બાદ એલોટમેન્ટ લેટર કે ચાવી નહીં અપાઈ હોવાની ફરિયાદ સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્ય કેયુર રોકડિયા, કાઉન્સિલરો સ્થળ પર પહોંચ્યા હતા. કોંગ્રેસ કાઉન્સિલર અમી રાવત, નરેન્દ્ર રાવતે કામનો વિરોધ કર્યો હતો. ગોરવા પીઆઈ કિરીટ લાઠીયા અને નરેન્દ્ર રાવત વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યા હતા કે દબાણ તોડ્યા પૂર્વે મકાનના એલોટમેન્ટ લેટર-ચાવી આપી નથી. ચાર દરવાજામાં પણ દબાણ હટાવાયા હતા. પ્લોટ નજીક ભાજપના નેતાની જમીન હોવાથી ધારાસભ્ય કામ કરાવી રહ્યા છેદબાણ હટાવાતાં નરેન્દ્ર રાવતે કહ્યું કે, પાલિકાના પ્લોટની નજીક ભાજપના નેતાઓની જમીન છે જે માટે ધારાસભ્ય દબાણો તોડવા ઉતાવળ કરે છે. વાણિજ્ય હેતુનો પ્લોટ મળતીયાઓને વેચવાની કવાયત છે. મ્યુનિ.કમિશનરની ના હોવા છતાં અધિકારી ધારાસભ્યના ઇશારે કામ કરે છે. એલોટમેન્ટ લેટર, ચાવી આપી મકાનો તોડ્યા હોત તો શું ફરક પડત. ગોરવા PI અને કોંગ્રેસી નેતા વચ્ચે બોલાચાલીકામ દરમિયાન નરેન્દ્ર રાવતે મકાન આપ્યા વિના તોડી ન શકાય તેવા આક્ષેપ કરતાં પીઆઇ લાઠીયાએ તમે વાતાવરણ ગરમ ન કરો, વિક્ષેપ ન કરો, વાહિયાત વાત કરી રાજનીતિ ન કરો કહી નારાજગી ઠાલવી હતી. દબાણકર્તાઓને સાચવનાર કોંગ્રેસ છેપાલિકાના પ્લોટ પર 30થી 35 વર્ષ પૂર્વે દબાણ થયા હતા. જેને હટાવી ફાયર બ્રિગેડ બનાવવાની તૈયારી છે. દબાણ કરાવનાર કોંગ્રેસ છે અને દબાણકર્તાને સાચવે છે. મકાન તૂટ્યા છે તેમને મકાનની ફાળવણી થઇ છે. > કેયુર રોકડિયા, ધારાસભ્ય, સયાજીગંજ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:31 am

ભલે પધાર્યા:કમાટીબાગમાં સફેદ વાઘની જોડીનું આગમન, ક્વોરન્ટાઇન બાદ દર્શન

2024માં નાગપુરથી વાઘની જોડી વડોદરા કમાટીબાગના પ્રાણી સંગ્રહાલય ખાતે લવાયા બાદ 40 વર્ષ પછી પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની એન્ટ્રી થઈ છે. રાજકોટ પ્રાણીસંગ્રહાલય ખાતે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સફેદ નર અને માદા વડોદરાને મળ્યા છે. સામે અલગ અલગ પક્ષીઓની 8 જોડી રાજકોટ પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવી છે. રાજકોટના પ્રદ્યુમનપાર્ક પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા સફેદ નર અને માદા વાઘને 15થી 45 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રખાયા બાદ સહેલાણીઓ જોઈ શકશે. 3 વર્ષની ઉંમરની સફેદ વાઘની જોડી વડોદરાના કમાટીબાગમાં આવતા સહેલાણીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલયમાં 3 જોડી થઈ છે. જેમાં અગાઉની વાઘની જોડી 18 વર્ષની થઈ છે. બીજી તરફ નાગપુરથી લવાયેલી નર અને માદાની જોડીને બ્રિડિંગ માટે જ રાખવામાં આવી છે. જેને સહેલાણીઓ માટે પ્રદર્શિત કરાઇ નથી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:29 am

ભાસ્કર અગ્રેસર:પાલિકાના છબછબિયાંઃ સ્વિમિંગ પુલના વિદ્યાર્થી દીઠ ~10 લેશે, શીખવવાની જવાબદારી શાળાની

હરણી બોટકાંડ બાદ બદનામીથી બચવા પાલિકાની ચુંટાયેલી પાંખે શાળાના બાળકોને રૂ.10માં સ્વિમિંગ શીખવવા સૂચન કરી બજેટમાં જોગવાઈ કરી હતી. જોકે સૂચન બાદ 21 મહિને આખરે કામ સ્થાયીમાં મૂકાયું છે. પાલિકા ભલે રૂ. 10 લેશે પણ વિદ્યાર્થીઓની જવાબદારી શાળાની રહેશે તેવી શરત મુકાઇ છે. 2024માં હરણી લેક ઝોનમાં 12 બાળકો સહિત 14ના મોત થયાની ઘટના બાદ ભાજપ શાસિત પાલિકા તંત્રની ભારે બદનામી થઈ હતી. બદનામીમાંથી ઊગરવા બજેટની ચર્ચામાં શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને રૂ. 10માં સ્વિમિંગ શીખવવા સૂચન મુકાયું હતું. જેમાં તંત્રની પ્રસંશા થઈ હતી. જોકે આ સૂચન માત્ર કાગળ પર જ રહી હતી. 21 મહિના બાદ હવે બાળકોને રૂ. 10માં સ્વિમિંગ શીખવાડવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મુકાઇ છે. જેમાં શાળાના બાળકોને સ્વિમિંગ શીખવા માટે અને શાળા માટે 19 શરત અને નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમમાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે તેવો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે આ પોલિસી બનાવતા તંત્રને 6 મહિનાઓ સમય લાગ્યો છે. વાલીના એકરારનામા સાથે ફોર્મ ફી, પ્રવેશ-તાલીમ ફી આપવી પડશેપાલિકા મુજબ વિદ્યાર્થીઓની યાદી, બાળકો-વાલીના નામ-સરનામા, મેડિકલ સર્ટિ., અને એકરારનામું આપવાનું રહેશે. રૂ.50 ફોર્મના, ~25 પ્રવેશના, રૂ.10 શિખવાના આપવા પડશે. સ્કૂલો સુરક્ષા રાખે જ છે, સ્વિમિંગમાં બાળકોની જવાબદારી શાળાઓ લે તેવું કોઇ સ્વીકારે નહીં શાળાઓ વિદ્યાર્થીઓની તમામ ઇત્તર પ્રવૃત્તિ સુરક્ષા સાથે કરે છે. સ્વિમિંગમાં બાળકોની જવાબદારી શાળાઓ લે તેવું કોઇ સ્વીકારે નહિ. > કિરણ પટેલ, આચાર્ય સંઘ કોચનો પગાર શાળાએ ચૂકવવો પડે, શિક્ષક મોકલવા પડે, બાળકની જવાબદારી કોની? કોઇ સ્વીકાર કરશે નહિ. કોચનો પગાર શાળાએ ચૂકવો પડે. શિક્ષક મોકલવા પડે. બાળકને કંઇ થાય તો જવાબદારી કોની? > આર.સી.પટેલ, પ્રમુખ, શહેર શાળા સંચાલક મંડળ શાળાએ વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખવવા માટે સ્પોર્ટ્સ ઓફિસર-કોચ રાખવો પડશે કહી પાલિકાએ હાથ ખંખેર્યાહરણી બોટકાંડમાં બાદ ઉતાવળે કરાયેલા સૂચન બાદ હવે સ્વિમિંગ શીખવવા પાલિકા માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડશે. શાળાએ સ્પોર્ટ્સ ઓફિસર કે કોચ રાખવા પડશે. કારણ કે પાલિકા પાસે પહેલેથી સ્ટાફની ઘટ છે અને નવું મહેકમ ઊભું કરવાનું કોઈ આયોજન નથી. પાલિકાએ એક રીતે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છે. જોકે તંત્ર કહે છે કે સહકાર આપીશું. પાલિકા પાસે 2 બેબી પુલ મળી 6 સ્વિમિંગ પુલ છે જેમાં તમામ શાળાના બાળકોને સ્વિમિંગ શીખવવું શક્ય નથી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:28 am

ભાસ્કર એક્સક્લુસિવ:સરકારી શાળાનું ખાનગી જેવું મોડલ: પહેલીવાર ડિસેમ્બરમાં જ પ્રવેશ પ્રક્રિયા શરૂ, 3 દિવસમાં 104 વિદ્યાર્થીઓની નોંધણી

ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં પ્રથમવાર ડિસેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળા કવિ દુલાકાગમાં પ્રવેશ માટે નોંધણી શરૂ કરાઇ છે. 3 દિવસમાં જ ગુજરાતી-અંગ્રેજી માધ્યમ માટે 104 વિદ્યાર્થીએ નોંધણી કરાવી છે. ધસારાના પગલે અંગ્રેજી માધ્યમમાં વર્ગો વધારવામાં આવ્યા છે. સરકારી શાળામાં પ્રવેશ પ્રક્રિયા જૂન મહિનામાં થાય છે. શિક્ષણ સમિતિ સંચાલિત હરણી વારસીયા રીંગ રોડ પરની કવિ દુલાકાગ પ્રાથમિક શાળામાં દર વર્ષે પ્રવેશના ધસારાને જોતા ડિસેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. 15થી 31 ડિસેમ્બર સુધી જે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ લેવો છે તેવા વિદ્યાર્થીઓના નામની નોંધણી શરૂ કરવામાં આવી છે. જેમ ખાનગી શાળામાં નવા સત્રમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરાઇ છે તે પ્રકારે જ કવિ દુલાકાગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જેના આધારે જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે તેના નામની નોંધણી કરવામાં આવી રહી છે. જેમાં અંગ્રેજી માધ્યમ માટે જુનીયર કેજીથી ધો.8 સુધીમાં પ્રવેશ માટે માત્ર 3 દિવસમાં જ 68 જેટલા વિદ્યાર્થીઓના નામ નોંધવામાં આવ્યા છે. જયારે ગુજરાતી માધ્યમ માટે 36 વિદ્યાર્થીના નામ નોંધાયા છે. અંગ્રેજી માધ્યમમાં ધસારો જોતા જુનીયર કેજીથી ધો.8 સુધી માટે એક-એક વર્ગ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષે 350 વિદ્યાર્થી પ્રવેશ વિના પાછા ફરે છેકવિ દુલાકાગ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે ધસારો રહે છે. પ્રવેશ ફૂલ થઇ જાય ત્યારે જે વિદ્યાર્થીને પ્રવેશ ન મળ્યા હોય તેના વાલીઓ મેયર, કોર્પોરેટર, ધારાસભ્યના ભલામણ પત્રો લખાવી લાવે છે. અંગ્રેજી-ગુજરાતી માધ્યમમાં દર વર્ષે 300થી 350 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. ખાનગી સ્કૂલમાંથી પણ વાલીઓ સરકારી સ્કૂલમાં અધવચ્ચેથી પ્રવેશ લેવા આવે છે. ધો.1 જ નહિ પરંતુ ધો.8 સુધી પ્રવેશ માટે ભલામણો આવતી હોય છે. લેબ-લાઇબ્રેરી એસી, સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ અવ્વલશાળામાં એસી લેબોરેટરી, એસી લાઇબ્રેરી, અદ્યતન વર્ગો છે. વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ, કલા મહાકુંભમાં વિજેતા થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ અવ્વલ હોવાથી પ્રવેશ માટે ધસારો રહે છે. > જીગર ઠક્કર, આચાર્ય, કવિ દુલાકાગ પ્રાથમિક શાળા 31 જાન્યુઆરી પહેલાં પ્રવેશ નિશ્ચિત કરી વાલી સાથે બેઠક કરાશે15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી પ્રવેશ માટે વિદ્યાર્થીઓના નામની નોંધણી કરાશે16 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી જે વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ હશે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા કરાશે28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી પ્રવેશ કન્ફર્મ કર્યા હશે તેવા વિદ્યાર્થીઓના વાલી સાથે મિટીંગ કરાશે1 એપ્રિલના રોજ નવા સત્ર માટે વાલી અને બાળકો સાથે બેઠક કરીને જૂનમાં નવું સત્ર જ શરૂ કરી દેવાશે

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:24 am

મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત:વડવાઓ પ્રાકૃતિક ખેતી કરી જીવન ગાળતા હતા, આજે અમે એ જ પરંપરા અપનાવી રહ્યા છીએ : મહિલા ખેડૂત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ પરપોટીયાના રેવાબેન કોટવાલ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. તેમણે વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અને તેનાથી મળતી સફળતાએ તેમને આર્થિક રીતે મજબૂત કર્યા છે. આ વિસ્તારની મહિલાઓ માટે આ મહિલા પ્રેરણારૂપ પણ બની રહી છે. માલપુર તાલુકાના પરપોટીયાના રેવાબેન પોતાના ઘરે બાંધેલી દેશી ગાયના છાણમાંથી પ્રાકૃતિક ખાતર તૈયાર કરે છે. આ ખાતરનો ઉપયોગ તેમના ખેતરમાં ઘઉં જેવા પાકોમાં કરવામાં આવે છે. પરિણામે તેમના ઘઉંની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે તે ઘઉં રૂપિયા1000 પ્રતિ મણના ભાવે પોતાના ઘરેથી જ વેચાઈ જાય છે. રેવાબેન કહે છે, કે વડવાઓ પ્રાકૃતિક ખેતી કરીને જ જીવન ગાળતા હતા. આજે અમે તે જ પરંપરાને અપનાવીને સફળતા મેળવી રહ્યા છીએ. આ સફળતા પાછળ રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અરવલ્લીનો મહત્વનો સહયોગ છે. બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. આનાથી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધી રહ્યો છે અને ખાસ કરીને મહિલાઓ આ ક્ષેત્રે આગળ વધી રહી છે. રેવાબેન કોટવાલ જેવી મહિલાઓ પ્રાકૃતિક ખેતી અપનાવીને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બની રહી છે. આ ખેતી માત્ર રાસાયણિક ખાતરો અને કીટનાશકોના ખર્ચમાંથી મુક્તિ આપે છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:21 am

કાર્યવાહી:મોડાસામાં ચરસ અને ગાંજાનો નશો કરવા વપરાતાં 43 રોલિંગ પેપરનો જથ્થો ઝડપાયો

રાજ્યના ગૃહ વિભાગે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને મોડાસા ટાઉન પોલીસે શહેરમાં મેઘરજ રોડ ઉપર આવેલ શ્રી ગાયત્રી ટેડર્સ પાન પાર્લરની દુકાનમાં અચાનક રેડ કરીને તપાસ હાથ ધરી હતી. દુકાનમાંથી ચરસ,ગાંજાના અલગ અલગ પ્રકારના નશા માટે ઉપયોગમાં લેવાતી સ્ટેશ પ્રો.રોલિંગ પેપર નંગ 43 કિંમત રૂપિયા 645નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વેચાણ કરતા શખ્સની અટકાયત કરીને તેની વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. અરવલ્લી એસપી મનોહરસિંહ એન.જાડેજા તથા આર.ડી.ડાભી નાયબ પોલીસ અધિક્ષકના સૂચનાઓના ભાગરૂપે ડી.બી.વાળા પોલીસ ઇન્સપેક્ટર કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગમાં હતા. માહિતી મળી હતી કે મેઘરજ રોડ ઉપર આવેલ શ્રી ગાયત્રી ટેડર્સ પાન પાર્લરની દુકાનમાં પ્રતિબંધિત હોવા છતાં તેનું વેચાણ કરતો હોવાની માહિતી આધારે પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ દુકાનના કાઉન્ટર પર બેઠેલા મનિષકુમાર શામજીભાઈ પટેલ રહે વેદ રેસિડેન્સી મોડાસા જિલ્લો અરવલ્લીની અટકાયત કરીને તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સરકારી ઇજનેરી કોલેજ પાસેની દુકાનોમાં પણ વેચાણ મોડાસા કોલેજ રોડ ચાર રસ્તા અને સરકારી ઇજનેરી કોલેજ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલા પાર્લરમાં અને દુકાનોમાં ખુલ્લેઆમ રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેર નામાનો સરેઆમ ભંગ થતો હોવાની લોકોની ફરિયાદ ઉઠી છે. કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પણ નશા કારક રોલિંગ પેપરનો ઉપયોગ કરી રહ્યા હોવાનું અને આ દુકાનો અને પાર્લરમાં તેઓ અંદરના ભાગમાં બેઠક વ્યવસ્થા કરેલી હોવાથી ત્યાં રોલિંગ પેપરનો કશ ખેંચી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:19 am

પંથકમાં રાડ પડાવનાર ચાર શખ્સો સળીયા પાછળ:ખનીજચોર નીકુભા ગેંગ પર ગુટસીટોક લાગુ કરાયો

સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાની હદમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક પગલાં લેવાના ભાગરૂપે સાબરકાંઠા એસપીની સૂચનાથી ખનીજ ચોરી અને વહીવટી તંત્રના કર્મચારીઓ સહિત સ્થાનિક લોકોને રંઝાડી હુમલા કરવા ટેવાયેલા નીકુભા ગેંગના ચાર શખ્સો વિરુદ્ધ એલસીબીએ કાર્યવાહી હાથ ધરી ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરતા ખનિજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એલસીબી પીઆઇ ધવલ સાકરીયાએ વિગત આપતા જણાવ્યું કે સાબરકાંઠા એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે સાબરમતી નદીમાં ગેંગ બનાવી રેતી ખનીજ ચોરી કરતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા સૂચના આપ્યા બાદ પ્રાંતિજ તાલુકાના સીતવાડા વડવાસા અને માણસા તાલુકાના લાકરોડા ગામની સીમમાં ગેંગ બનાવી ખનીજ ચોરી કરતા અને ખનીજ ચોરી અટકાવવા ગયેલ સરકારી અધિકારી કર્મચારીઓ ઉપર હુમલા કરવા ટેવાયેલા તથા તેમના વિસ્તારમાંથી લીઝ ઉપરથી રેતી ભરી પસાર થતા વાહનોને અટકાવી મારામારી રાયોટીંગ ખૂનની કોશિશ જેવા ગંભીર પ્રકારના સંગઠિત ગુના આચરતી ગેંગ જે નિકુભા ગેંગ તરીકે કુખ્યાત બની ગઈ હતી આ ગેંગના સભ્યો વિરુદ્ધ ગૂના દાખલ થયેલ હોવા છતાં ખનીજ ચોરી અને હુમલા કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી તેની તપાસ હાથ ધરવામાં આવતા નરેન્દ્રસિંહ .. અનુસંધાન પાન-2

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:17 am

કાર્યવાહી:મ્યુલ એકાઉન્ટ સાયબર ફ્રોડ, હિંમતનગર શહેરમાં બે શખ્સના બેન્ક ખાતા સીઝ કર્યા

રાજ્ય સરકાર દ્વારા સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાઈ રહેલ મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ ઝૂંબેશ શરૂ કરાતા જિલ્લામાં તેને લગતી ફરિયાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી બે શખ્સોનું એકાઉન્ટ સીઝ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા જતા તપાસને અંતે છેતરપિંડી અંતર્ગત દિલ્હી સાયબર ક્રાઇમે બે એકાઉન્ટ હોલ્ડ કરાવ્યાની ખબર પડી હતી. જેમાં એક એકાઉન્ટમાં 10,000 અને બીજા એકાઉન્ટમાં રૂપિયા 30,000 ટ્રાન્સફર થયા હતા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહેતાપુરાના બ્રહ્માણી નગરમાં રહેતા કમલેશ દામોદરભાઈ સિસોદિયાના મિત્ર વિકાસ મનોહરલાલ સરગરા(રહે પોલોગ્રાઉન્ડ તબેલા વિસ્તાર હિંમતનગર) એ ઓક્ટોબર-24માં કમલેશને મળીને જણાવ્યું હતું કે મારા કાકાના દીકરા સુરેન્દ્ર ગેવરરામ ચૌહાણ (રહે.બિલાડા ઉચીયારડા કસબા તા.બીલાડા જી.જોધપુર )પાસે હું પૈસા માગું છું તે તારા એકાઉન્ટમાં પૈસા મોકલે તો તે પૈસા ઉપાડીને મને આપજે

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:53 am

રેલમંત્રીને રજૂઆત:કોરોનાના લીધે બંધ કરેલી નડિયાદ–મોડાસા રેલવે સેવા પણ પુનઃ શરૂ કરો : સંસદ સભ્ય

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં અપગ્રેડેડ રેલ સુવિધાઓ માટે સાંસદે રેલ મંત્રીને મળી નવીન રેલ સેવાઓ ચાલુ કરવા અને નડિયાદ થી મોડાસા કોરોના વખતથી બંધ કરાયેલ સેવા શરૂ કરવા માંગ કરવા સહિત વિગતવાર રજૂઆત કરતા રેલ મંત્રીએ આગામી નવા વર્ષમાં વનડે ભારત ટ્રેન ચાલુ કરવાનું આશ્વાસન આપ્યું હતું. શોભનાબેન બારૈયા એ જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી સીધી રેલ સેવા શરૂ કરવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. દિલ્હી થી ઉપડતી ચેતક એક્સપ્રેસ જે દિલ્હી જયપુર અજમેર ઉદેપુર વીસ બાવીસ કલાક પડી રહે છે તેને હિંમતનગર અમદાવાદ અસારવા સુધી લંબાવવા રજુઆત કરી છે. તેમણે જણાવ્યું કે તેમના સંસદીય મતવિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર અને વ્યવસાય માટે મુંબઈ, સુરત અને વલસાડ વિસ્તારમાં વસવાટ કરે છે. હાલ આ વિસ્તારના મુસાફરોને મોટાભાગે બસ દ્વારા લાંબી અને અસુવિધાજનક મુસાફરી કરવી પડે છે. આ માર્ગ પર સીધી રેલ સેવા શરૂ કરવામાં આવે તો મુસાફરોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને સમય બચાવતી મુસાફરી ઉપલબ્ધ થશે, તેમજ વિદ્યાર્થીઓ, શ્રમિકો અને સામાન્ય જનતાને મોટો લાભ મળશે. સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગને આ બાબત પર તાત્કાલિક વિચાર કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે, જેથી વિસ્તારના લોકોની લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ થઈ શકે. કોરોના મહામારી બાદ નડિયાદ–મોડાસા માર્ગ પર રેલવે સેવા બંધ કરવામાં આવી છે, જેના કારણે આ માર્ગ પર મુસાફરી કરતા યાત્રિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાને લઈ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ મુંબઈ સુરત નડિયાદ કપડવંજ મોડાસા માર્ગ પર રેલવે સેવા પુનઃ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે રેલવે વિભાગને આ માર્ગ પર વહેલી તકે રેલ સેવા પુનઃ શરૂ કરવા વિનંતી કરી છે, જેથી યાત્રિકોને સુરક્ષિત, સુવિધાજનક અને સમય બચાવતી મુસાફરી ફરીથી મળી શકે અને વિસ્તારના વિકાસને વેગ મળી શકે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:51 am

ભૂવાએ બાળકીને પીંખી નાખી:સોનાની લગડીની લાલચમાં માસાએ 12 વર્ષની ભાણીને ભૂવાને સોંપી

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના બે શખ્સોએ સોનાની લ્હાયમાં દીકરી સમાન 12 વર્ષીય સગીરાને ભૂવાને સોંપી દીધા બાદ 62 વર્ષી ભૂવાએ રાત્રિ દરમિયાન બબ્બે વખત પીંખી નાંખ્યાની ચકચારી ઘટના બહાર આવી છે. સંવેદનશીલ ઘટનામાં પોશીના પોલીસે ભૂવો, માસો અને કુટુંબી કાકાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. પોશીના તાલુકાની 12 વર્ષીય સગીરાના પિતા ઇડર તાલુકામાં ભાગીયા તરીકે રહે છે અને સગીરા તેના કાકા સાથે રહે છે. તા. 14-12-2025ના રોજ કાકા-કાકી અંબાજી દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન સવારે દસેક વાગ્યે સગીરાના માસા સુરેશ અજાભાઇ બૂબડીયા અને કુટુંબી કાકા મીરખાન માલાભાઇ બૂબડીયા ઘેર આવ્યા હતા અને પોશીના બજારમાં જઇને આવીએ છીએ કહી સગીરાને લઇ ગયા હતા. કાકા-કાકી પરત આવતા સાંજે 4 વાગ્યા સુધી સગીરા પરત ઘેર આવેલ ન હોઇ અને તેના માસા લઇ ગયાની ખબર પડતા તેના ઘેર જઇ સગીરાની માસી રેહીબેનને પૂછતા તેણે પણ માતાએ દર્શન કરવા લઇ ગયાનું કહેતા રાત્રે દસ વાગ્યા સુધી રાહ જોઇ ફરીથી તપાસ કરવા જતા ટેહીબેને જણાવ્યું કે રસ્તામાં છે ચિંતા ન કરો ઘેર આવી જશે. બીજા દિવસે સવારે તેના ઘેર જતા સુરેશ અને મીરખાન ઘેર નહતા અને સાંજે ચારેક વાગ્યે મીરખાનના ઘર આગળ સગીરા હોવાની જાણ થતા બધા ત્યાં પહોંચ્યા હતા અને સગીરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે ગઇકાલે સવારે બંને જણા ઘેર આવી પોશીના બજારમાં કામ છે. કહી બાઇક પર લઇ ગયા હતા અને પોશીના બજારમાં ઇકોમાં બેસાડી 50 રૂપિયા આપી હડાદ ફેકટરીએ ઉભી રહેજે કહી બંને જણા બાઇક પર ફેકટરીએ આવ્યા હતા અને બાઇક પર બેસાડી ગોળા ગામે એક ખેતરમાં ઓરડીમાં લઇ ગયા હતા અને એક અજાણ્યા માણસને બોલાવી સગીરાને સોંપી બંને જતા રહ્યા હતા અને રાત્રિ દરમિયાન કથિત ભૂવો સગીરા સાથે બબ્બે વખત દુષ્કર્મ આચરતો રહ્યો હતો. સવારે સગીરાના માસા અને કાકા બંને પરત આવતા કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ કહી ભૂવો જતો રહ્યો હતો અને આ બંને જણાએ ભૂવા પાસેથી કંઇક લીધું હતુ અને બંને જણાએ સગીરાને બાઇક પર બેસાડી દાંતા પહોંચી ચા નાસ્તો કર્યા બાદ બપોરે સાડા ત્રણેક વાગ્યે સગીરાને ગામ નજીક ચાર રસ્તા ખાતે ઉતારી દીધી હોવાનું જણાવ્યા બાદ કાકાએ સગીરાને પોશીના સરકારી દવાખાનામાં સારવાર કરાવી ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોશીના પીઆઇ એલ.જે.વાળાએ જણાવ્યું કે, ગુનો નોંધી સુરેશ અજા બૂબડીયા અને મિરખાન માલા બૂબડીયાને પકડી લઇ પૂછપરછ કરી ભૂવાગીરી કરતા જવાનજી કુવરજી ઠાકોર .(ઉ.વ. 62 રહે. 251, ઠાકોરવાસ, સાકરી તા. ખેરાલુ)ને પકડી લીધો છે. ત્રણેયની વિરુધ્ધ હવે દુષ્કર્મ, પોકસો સહિતની કલમો ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. સમાચારથી શીખરાતોરાત અમીર બનવાની લાલચ અને ચમત્કારોમાં અંધવિશ્વાસ રાખનારા લોકોએ સમજવું જોઈએ કે પરસેવાની કમાણી સિવાય ક્યાંયથી સોનું વરસતું નથી. આવા પાખંડી ભુવાઓ માત્ર લાલચુ લોકોનું આર્થિક અને શારીરિક શોષણ જ કરે છે. આ રહ્યા નરાધમો(1) સુરેશ અજા બૂબડીયા (2) મિરખાન માલા બૂબડીયા (3) જવાનજી કુવરજી ઠાકોર . (ઉ.વ. 62 રહે.સાકરી તા. ખેરાલુ) રાત્રિ દરમિયાન નરાધમ નીચતા આચરતો રહ્યો હતો અને‎બંને જણાએ દૂર રહીને સોનાની આશામાં રાત પસાર કરી‎બનાસકાંઠા જિલ્લાના જલોત્રા નજીક ગોળા ગામની આજુબાજુમાં ખેતમજૂરી ભાગીયા તરીકે અગાઉ કામ‎કરવા દરમિયાન સુરેશ અજા બૂબડીયા અને મિરખાન માલા બૂબડીયા એક વખત બસ સ્ટેન્ડ પર ઉભા હતા.‎તે દરમિયાન જવાનજી કુવરજી ‎ઠાકોરના સંપર્કમાં આવ્યા હતા‎અને પોતે ભૂવો હોવાનું અને ‎સોનું કાઢી આપતો હોવાનું‎જણાવ્યા બાદ દસ પંદર ‎દિવસ પછી બંને જણા‎જવાનજી ઠાકોરને મળ્યા હતા અને સોના માટે વાત કરતા જવાનજી ઠાકોરે 15 વર્ષથી નાની કુમારિકાની‎જરૂર પડશે અને તેની પાસે વિધિ કરાવવી પડશે કહ્યું હતું. ત્યારબાદ સુરેશ બૂબડીયાએ કાકાને ઘેર રહેતી‎સગીર ભાણીને લઇ જવાનું મીરખાન સાથે મળી પ્લાનીંગ કરી કાકા-કાકી અંબાજી દર્શને ગયા તે જ દિવસે‎ભાણીને પોશીના બજારમાં લઇ ગયા અને પહેલા ઇકોમાં બેસાડી હડાદ ફેકટરી અને ત્યાંથી બાઇક પર‎બેસાડી 80 કિ.મી. દૂર બનાસકાંઠા જિલ્લામાં જલોત્રા નજીક આવેલ ગોળા ગામે ખેતરની ઓરડીમાં રહેતા‎નરાધમ વૃધ્ધને દીકરી જેવી ભાણીને સોંપી દીધી. રાત્રિ દરમિયાન નરાધમ નીચતા આચરતો રહ્યો હતો અને‎બંને જણા દૂર રહી સોનાની આશામાં રાત પસાર કરી વહેલી સવારે ઓરડી પર આવતા બનાવટી સોનાની‎લગડી પકડાવી દીધી જેની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવનાર છે.‎

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:50 am

યુવતીએ પિતા-ભાઈઓ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી:પાલનપુરના ભુતેડી ગામે સાસરે જવા મુદ્દે વિધવા દીકરી પર પિતા સહિતે મારપીટ કરી

પાલનપુર તાલુકાના ભુતેડી ગામે એક વિધવા યુવતી પર સાસરીમાં જવા મામલે થયેલ ઝગડો કરી મારપીટ કરી હતી. તેણીએ પોતાના પિતા, ભાઈઓ અને સગાં સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ભુતેડી ગામે પિયરમાં રહેતી વિધવા સોનલબેન ઠાકોરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે ચાર વર્ષ પહેલા અમીરગઢના કિરણજી ગણેશજી ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પતિનું જુલાઈ2024 માં અકસ્માત બાદ મોત થતા તેઓ એક નાનકડા દીકરા સાથે હાલ પિયરમાં રહે છે. સોમવારે તેમની સાસુ રમીલાબેન ઠાકોર અકસ્માત ક્લેઇમની જુબાની બાબતે મળવા આવી હતી. સોનલબેને સાસરે જવાની તૈયારી બતાવતા પિયરવાળા ઉશ્કેરાઈ ગયા હતા. ફરીયાદ મુજબ પિતાએ વાળ પકડી રીક્ષામાંથી ખેંચી નીચે પાડી, ભાઈએ લાતો મારી અને બાદમાં મોટા બાપા તથા કાકાના દીકરાએ પણ થપ્પડ અને લાતોથી હુમલો કર્યો હતો.આ ઉપરાંત સાસરે જશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપ્યાનો પણ આરોપ છે. ગંભીર ઈજાઓ થતા સાસુ અને દિયર તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. આ મામલે સોનલબેને તેમના ભાઈ કૈલાશભાઈ સવાભાઈ સોડલા, પિતા સવાભાઈ ઇશ્વરભાઇ સોડલા,કાકા મૂળજીભાઈ ઇશ્વરભાઇ સોડલા, કપૂરજી ઇશ્વરભાઇ સોડલા અને વિક્રમભાઈ વરસંગભાઈ સોડલા સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:40 am

લાખોનો ઘીનો જથ્થો જપ્ત:ચંડીસર જીઆઈડીસીમાં ગોડાઉન સંચાલક છઠ્ઠા દિવસે પણ ન આવતાં તાળું તોડી શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા

ચંડીસર જીઆઇડીસીમાં આવેલી શ્રી સેલ્સ એજન્સીના ગોડાઉનમાં પાંચ દિવસ પહેલા ફુડ વિભાગે આકસ્મિક તપાસ કરતા જ સંચાલક બંને ગોડાઉન સીલ કરીને ભાગી ગયો હતો જે બાદ છેલ્લા છ દિવસથી પોલીસ કર્મીઓ અને ફૂડ વિભાગ ગોડાઉન સીલ કરીને બહાર કેમ્પસમાં સંચાલકની રાહ જોઈને બેસી રહ્યા હતા છ દિવસે પણ સંચાલક ન આવતા આખરે ફૂડ વિભાગ એ જિલ્લા કલેકટર નું ધ્યાન દોરતા સ્પેશિયલ મંજૂરી આપવામાં આવી હતી અને મામલતદાર સમક્ષ તાળું તોડીને ગોડાઉનમાં રાખેલા માલની ગણતરી કરવામાં આવી હતી. જોકે બંને ગોડાઉનમાં રાખવામાં આવેલો ઘીનો જથ્થો મોટી સંખ્યામાં જથ્થો હોવાથી મોડી રાત સુધી કામગીરી જારી રહી હતી. ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે મામલતદાર ટીમને સાથે રાખીને પંચ અને સાક્ષીની રૂબરૂમાં ઇન કેમેરાએ બપોરે ગોડાઉન પરના સીલ ખોલવામાં આવ્યા હતા ડીપી રિપેરિંગ કરવાના કારખાનામાંજ ગોડાઉનમાં ઘીનો જથ્થો સચવાયેલો હતોભાસ્કર ટીમ જ્યારે ગોડાઉન પર પહોંચી ત્યારે બહારથી ખ્યાલ ના આવે કે અહીં ઘીનું ગોડાઉન હશે કારણ કે કેમ્પસની અંદર ડીપી રીપેરીંગ ની કામગીરી ચાલી રહી હતી અને એજ કેમ્પસમાં ડીપી રીપેરીંગ એકમના સંચાલકે ઘીના ગોડાઉન માટે ડીસાના મોદી બંધુને ભાડે આપેલો હતો. તાળુ તોડીને જ્યારે ફૂડ વિભાગની ટીમ અંદર પહોંચી ત્યારે પહેલા જમણી બાજુ સીલબંધ રૂમ બનાવેલો છે જે ખાલી હતો. જ્યારે બહારના ભાગે ખુલ્લી જગ્યામાં 15 કિલો એક કિલોના પેકિંગ ટીનમાં જુદી જુદી બ્રાન્ડના ઘીનો જથ્થો જોવા મળ્યો હતો. જ્યારે પાછળખુલ્લા ડબ્બા અને પેકિંગ માટેના બોક્સનો વિશાળ હતો.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:37 am

ટ્રાફિક જામ‎:પાલનપુરમાં ધણીયાણા ચોકડીથી એક‎તરફનો માર્ગ બંધ થતાં ટ્રાફિક જામ‎

પાલનપુર શહેરની અંદર જતા મુખ્ય માર્ગ પર ધણીયાણા ચોકડી પાસે જીયુડીસીની પાઈપલાઈન નાખવા એક તરફનો રસ્તો બંધ કરાતા બુધવારના રોજ સવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ,નોકરીએ જતા કર્મચારીઓ તેમજ અન્ય મુસાફરો લાંબા સમય સુધી રસ્તામાં ફસાઈ ગયા હતા અંબાજી હાઇવેથી પાલનપુર શહેરની અંદર જવાના મુખ્ય માર્ગ પર ધણીયાણા ચોકડી પાસે બુધવાર સવારે એક તરફનો રસ્તો અચાનક બંધ કરાતા સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માર્ગ બંધ થવાને કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ,નોકરીએ જતા કર્મચારીઓ તેમજ દૈનિક આવન-જાવન કરતા મુસાફરો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. ટ્રાફિક જામના કારણે લોકોને સમયસર પોતાના નિર્ધારિત સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્કૂલ બસો, ટુ-વ્હીલર, કાર તેમજ ભારે વાહનો પણ લાંબા સમય સુધી અટવાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી વાહન વ્યવહારને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ધણીયાણા ચોકડીથી એક તરફનો માર્ગ બંધ થતા ટ્રાફિક જામ સર્જાયું

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:35 am

નોટિસ:મોરબી મહાનગરપાલિકાની બાકી વેરો ધરાવતા આસામીઓ સામે લાલ આંખ

મોરબી મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી વેરો ન ભરનાર મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવા માટે કાર્યવાહીનો રસ્તો અપનાવાયો છે. લાંબા સમયથી વેરો ન ભરનાર લગભગ 1200 આસામીઓ કે જેમના બાકી લેણાં રૂ. 50 હજારથી વધુ અને 1 લાખથી ઓછા હોય તેવા આસામીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે મનપાના વેરા કલેક્શન શાખા દ્વારા હાઉસ ટેક્સ, કોમર્સિયલ મિલકતનાના ટેક્સ ધારકોની યાદી તૈયાર કરી રીમાઇન્ડર નોટિસ ફટકારવામાં આવી રહી છે. મોરબીમાં સામાન્ય રીતે ફેબ્રુઆરી, માર્ચમાં વેરો ભરનારની સંખ્યામાં ઉછાળો જોવા મળતો હોય છે, હાઉસ ટેક્સ ભરતા લોકોનું પ્રમાણ વધાર હોય છે ચાલુ વર્ષમાં ખુબ મોટા પ્રમાણમાં મિલકત ધારકો વેરો ભરવા પહોચ્યા નથી, શહેરમાં એવા રહેણાક, વ્યાવસાયિક એકમો આવેલા છે જે વર્ષોથી વેરો ભરવા નથી આવતા જેથી લાખો રૂપિયાનો વેરો બાકી બોલે છે. વારંવારની અપીલ, સૂચનાઓ છતાં આસામીઓ વેરો ભરવામાં આળસ કરી રહ્યા હતા. આ સ્થિતિને ધ્યાને રાખી, ચાલુ નાણાકીય વર્ષના અંતિમ તબક્કા પહેલા મહત્તમ વસૂલાત કરવાના લક્ષ્યાંક સાથે મનપાનીની ટીમો મેદાને ઉતરી છે, રૂ 50 હજારથી વધુ તેમજ એક લાખની મર્યાદામાં બાકી હોય તેવા 1200 મિલકત ધારકોની યાદી તૈયાર કરી તેઓને નોટીસ ફટકારવામાં આવી છેે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ બાકીદારોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના મિલકત વેરાની ચુકવણી કરી શહેરના વિકાસમાં સહભાગી બને અને કાયદેસરની જપ્તી કે સીલિંગની કાર્યવાહીથી બચે. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે અને 1 લાખથી વધુનો વેરો બાકી હોય તેવા આસામીઓ સામે પણ તવાઈ બોલાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:21 am

વ્યાજખોરોનો આતંક:મોરબીમાં વેપારીએ વ્યાજ સાથે મૂળ રકમ ચૂકવી છતાં 88 લાખની પઠાણી ઉઘરાણી

મોરબીમાં વેપારીએ ધંધા માટે નાણાની જરૂરત પડતા બે શખ્સો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા બાદ જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા વધુ રૂપિયા વ્યાજ સહિત પરત ચૂકવી દીધા હોવા છતાં પણ તેની પાસેથી કુલ મળીને વધુ 88 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વેપારી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. મોરબીના કેનાલ રોડ પર રોલા રાતડીયાની વાડી મેઇન કેનાલ રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા અને સ્કાય મોલ પાસે શ્રીરામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા કિશોરભાઈ જીણાભાઈ પરમાર (ઉ.વ.35) નામના વેપારીએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ પઢીયાર રહે. નાના રામપર તથા આરોપી ભરતભાઈ રબારી રહે. થોરાળા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2024 ના જુલાઈ મહિનામાં તેમને ધંધા માટે રૂપિયાની જરૂરત પડતા હોવાથી પ્રકાશ પઢારિયા પાસેથી પ્રથમ તેણે 1 લાખ રૂપિયા હાથ ઉછીને લીધા બાદ વધુ નાણાંની જરૂર પડતા કટકે કટકે રૂ.21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ નાણા તેમણે પરત આપી દીધા છે અને તેનું નોટરી લખાણ પણ કરાવ્યું હતું. છતાં પણ પ્રકાશભાઈ પઢિયારે વેપારી પાસેથી વ્યાજ સહિત 26 લાખ રૂપિયા લઈ લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરીને તેની પાસેથી વધુ 78 લાખ રૂપિયાની માંગણી કરીને જો આ રૂપિયા નહીં આપે તો તેને તથા તેના પરિવારને મારી નાખશે તેવી ધમકી આપી હતી. તેમજ બીજા આરોપી ભરતભાઈ રબારી પાસેથી પણ તેઓએ પાંચ લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે કટકે-કટકે સાત લાખ રૂપિયા આપી દીધા છે તેમ છતાં પણ વધુ 10 લાખ રૂપિયા વ્યાજ સહિતની માંગણી કરી જો રૂપિયા નહીં આપે તો તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ રીતે બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપી હોવાની વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:21 am

લોકો પરેશાન:હારિજના ઇન્દિરાનગરમાં છ માસથી ગટર ઉભરાતા લોકોને ભારે હાલાકી

હારિજ શહેરના ઇંદિરાનગર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે.તૂટેલા ગટરના ઢાંકણા મોતના કૂવા સમાન બન્યા હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય સ્થાનિકોએ સ્વાગતમાં ફરિયાદ કરી છે. ઇન્દિરાનગરમાં છેલ્લા છ મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી સ્થાનિક રહીશ ભગાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નગરપાલિકાના કર્મચારીઓએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી ગમે ત્યાં ફરિયાદ કરો, કામ તો અમારે જ કરવાનું છે, માટે માપે લખો અને માપે રહો તેવા જવાબ અપાતાં હોવાનું તેમણે જણાવ્યું હતું.સાથે સાથે અન્ય વિસ્તારોમાં ફોન પર સફાઈ થાય છે.પરંતુ ઇંદિરાનગર સાથે ઓરમાયું વર્તન રાખે છે.સ્થાનિક અનુસૂચિત જાતિના કોર્પોરેટર પાટણ રહેતા હોવાના કારણે તેઓ પણ આ વાતને ધ્યાને લેતા નથી.નાછૂટકે આ મામલે સ્વાગતમાં ફરિયાદ કરી છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:15 am

આધેડનું મોત:વરાણામાં ખોડિયાર માતાના મંદિર નજીક ઇકોચાલકે 3ને અડફેટે લીધા

સમી તાલુકાના વરાણા ગામે ઇકોચાલકે ત્રણ લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક પગપાળા જતા ગામના આધેડ સહિત બાઈક સવાર કૌટુંબિક ભાઈ-બહેનને વરાણા ખોડિયાર માતાજીના મંદિર સામે રોડ ટક્કર મારતાં જે પૈકી આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. વરાણા ગામે મંગળવારે ​બપોરે ગામના વતની ચંડીદાન ગઢવી ખોડિયાર મંદિર સામેના રોડ પરથી પગપાળા જઈ રહ્યા હતા.આ સમયે એક અજાણ્યા ઇકો ગાડીના ચાલકે ટક્કર મારી હતી.ટક્કર માર્યા બાદ ભાગવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ જઈ બાઇક સવાર શૈલેષભાઈ સિંધવ અને તેમની બહેન સ્નેહાબેન સિંધવને પણ અડફેટે લીધા હતા. ત્રણેયને ગંભીર ઇજાઓ થતા ઈકો ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડ ચંડીદાન ગઢવીનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પિતાની અંતિમ વિધિ પતાવ્યા બાદ તેમના પુત્રએ સમી પોલીસ મથકે ઇકોના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.​ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત શૈલેષભાઈ અને સ્નેહાબેનને હાથ-પગમાં ફ્રેક્ચર થતા પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાલક ઇકો મૂકીને નાસી ગયોહારિજ પોલીસે જણાવ્યું હતું કે વરાણા ખોડીયાર માતાના મંદિરે દર્શન કરવા આવેલા એક ઇકોચાલક દર્શન કરીને ઇકો લઈને નીકળતા એક પગપાળા જઈ રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા.ત્યારબાદ ઇકોચાલકે પૂરઝડપે વાહન હંકારી અન્ય બે વ્યક્તિઓને પણ અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી ઇકોનો ચાલક ઇકો મૂકીને નાસી ગયો હતો.પોલીએ ઇકો ગાડી પોલીસ સ્ટેશન લાવી ગાડીચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:14 am

ભાસ્કર ઈનસાઈડ:સિદ્ધપુરના કુવારાથી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો

સિદ્ધપુરના કુવારા ગામે મહાદેવ મંદિર સામેની એક દુકાનમાં દરોડો પાડી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સોમાજી ઉર્ફે સુનીલ ઠાકોર માત્ર ધોરણ 12 પાસ છે, છતાં છેલ્લા એક વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.ઘટનાસ્થળેથી પોલીસને રૂ.1902ની કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ કાકોશી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કમ્પાઉન્ડરમાંથી ડોક્ટર બની જાય છે છેલ્લા એક વર્ષમાં એસઓજીએ 33 જેટલા બોગસ તબીબી પ્રેક્ટિક્સ કરતા શખ્સો પકડાયા છે.આ પૈકી મોટા ભાગના 20થી 50 વર્ષના યુવાન વ્યવસ્થા વાળા યુવકો છે. જેવો અગાઉ 4-5 વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે કોઈ હોસ્પિટલમાં કામ કરી ચૂક્યો છે. એ અનુભવના જોરે તેણે ગામડામાં પોતાનું અલગ ક્લિનિક ખોલી દીધું હતું. મોટા ભાગે આમનું શિક્ષણ માત્ર ધોરણ 12 પાસ હોય છે.છતાં 4-5 વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી તબીબી અનુભવ મેળવી ક્લિનિક શરૂ કરી દે છે અને દરરોજ 8થી 10 લોકોની સારવાર કરી દૈનિક રૂ 1,000થી વધુ કમાણી કરી લે છે. ગણતરીના કલાકોમાં જામીન પર છૂટી જાય છે એસ.ઓ.જી. પોલીસે છેલ્લા એક વર્ષમાં કુલ 33 બોગસ તબીબોને પકડી પાડ્યા છે. જે સારી બાબત છે. પરંતુ કાયદાની જોગવાઈમાં જામીન પાત્ર ગુનો હોય એ પણ પોલીસ સ્ટેશનથી જ મળવાપાત્ર હોય આરોપીઓ પકડાયા બાદ કલાકોમાં જ તેમને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળતા છૂટી ગયા છે હાલમાં તેમની ઉપર કેસ ચાલી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:13 am

એસપીએ બેંક મેનેજરો સાથે બેઠક કરી:પાટણ જિલ્લાનાં શંકાસ્પદ 200થી વધુ બેન્ક એકાઉન્ટની પોલીસ તપાસ કરશે

પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમને રોકવા માટે પોલીસે કડક પગલાં લીધા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ બેંકોના મેનેજરો સાથે બેઠક યોજી શંકાસ્પદ 200 ખાતાઓના ટ્રાન્ઝેક્શનની માહિતી તાત્કાલિક આપવા સૂચના આપી છે. કેટલાક લોકો કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતાનો ઉપયોગ સાયબર ઠગોને કરવા દે છે, જેનાથી મોટા પાયે છેતરપિંડી થાય છે અને દેશના અર્થતંત્રને નુકસાન થાય છે. આવા કિસ્સાઓમાં બેંકો દ્વારા શંકાસ્પદ ખાતાધારકોની માહિતી આપવામાં વિલંબ થતો હોવાથી ગુનેગારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.ત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સાયબર ક્રાઈમ પી.આઈ. વસાવાએ સરકારી અને ખાનગી બેંકોના મેનેજરોની બેઠક બોલાવી હતી. જેમાં ડીવાયએસપી ડી.ડી. ચૌધરી, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર સહિ બેંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એસપીએ બેંક અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, સાયબર ફ્રોડમાં સંડોવાયેલા શંકાસ્પદ ખાતાઓની જાણકારી પોલીસને તાત્કાલિક પૂરી પાડવામાં આવે. અત્યાર સુધીના કિસ્સાઓમાં જાણવા મળ્યું છે કે, ખાતાધારકો અમુક ટકા કમિશન લઈને સાયબર ઠગોને તેમના ખાતાનો ઉપયોગ નાણાં સંગ્રહ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. પોલીસ દ્વારા આવા શંકાસ્પદ ખાતાઓની તપાસ માટે પત્રવ્યવહાર કરવામાં આવે ત્યારે બેંકો દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડવામાં વિલંબ થવાથી ગુનાઓ ઉકેલવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે.આથી, પોલીસે બેંકોને આ મામલે કડક સૂચનાઓ આપી છે. 5 બેંક એકાઉન્ટમાં અનઅધિકૃત ટ્રાન્જેક્શન થયુંભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર મારફતે પાટણ જિલ્લાનાં 200થી વધુ બેન્ક એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાની પોલીસને માહિતી મળી છે જેના આધારે પાટણ સાયબર ક્રાઇમ સહિતની પોલીસે એક બાદ એક શંકાસ્પદ બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરી છે.જેમાં પાંચ એકાઉન્ટમાં અનઅધિકૃત ટ્રાન્જેક્શન થયું હોવાનું જણાયું છે. જેમાં પોલીસે પાંચ કેસ દાખલ કરી તપાસ માટે કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:11 am

15 પશુ બચાવ્યાં:સિદ્ધપુરના ખળી થી ટ્રકમાં કતલખાને લઈ જવાતાં 15 પશુ બચાવ્યાં

સિદ્ધપુર તાલુકામાં પશુ તસ્કરીની મોટી ઘટના સામે આવી છે. તાલુકાના ખળી ગામની સીમમાં પશુઓને અત્યંત ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જતી એક આઈસર ટ્રકને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ગાડીમાં પશુઓને ખીચોખીચ ભરીને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા છે, જેના આધારે PSI પી.એમ. પટેલની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન GJ-02-AT-1643 નંબરની આઈસર ટ્રકમાંથી 15 ભેંસ અને પાડા દયનીય હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસને જોઈને વાહનચાલક ટ્રક મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ટ્રકમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ જ વ્યવસ્થા નહોતી અને તેમને કતલખાને લઈ જવાતા હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. પોલીસે આ પશુઓને તાત્કાલિક મુક્ત કરાવી નાગવાસણ પાંજરાપોળ ખાતે સુરક્ષિત મોકલી આપ્યા છે. પોલીસે આઈસર ટ્રક અને પશુઓ મળી કુલ રૂ. 11.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:10 am

આયોજન:એલ્ફિન્સ્ટન પુલ તોડવાનું કામ આવતા અઠવાડિયાથી

એલ્ફિન્સ્ટન પુલના રેલવે માર્ગ પરનું માળખુ હટાવવાના કામની શરૂઆત આવતા અઠવાડિયાથી થશે. મધ્ય રેલવે માર્ગમાં શરૂઆતના દરેક બે કલાકના એવા કુલ 19 બ્લોક રાતના સમયે લેશે. એ સમયે પુલના ગર્ડર્સનું કટિંગ કરવામાં આવશે. આ સંદર્ભે રેલવે બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા કરીને બ્લોકનું અંતિમ ટાઈમટેબલ નક્કી કરવામાં આવશે. તેમ જ એલ્ફિન્સ્ટન પુલનું પશ્ચિમ તરફનું માળખુ હટાવવા પશ્ચિમ રેલવેના બ્લોકની જરૂર છે. એના માટે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ સ્તરે ચર્ચા ચાલુ છે. એલ્ફિન્સ્ટન પુલ તોડી પાડીને એના ઠેકાણે વરલી-શિવરી એલિવેટેડ ફ્લાયઓવર બાંધવામાં આવશે. આ ધ્યાનમાં લેતા મધ્ય રેલવે અને મહારેલ વચ્ચે બેઠક પાર પડ્યા પછી આખરે મધ્ય રેલવેમાં બે બે કલાકના 19 બ્લોક લઈને તોડકામની શરૂઆત કરવા પર વિવિધ પ્રશાસકીય યંત્રણાઓ એકમત થઈ છે. ઉપરાંત વધુ કલાકના સ્વતંત્ર મેગાબ્લોક માટે જરૂરી રેલવે બોર્ડની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. હાલ તો રેલવે તરફથી બે કલાકના 19 બ્લોક મળીને આવતા અઠવાડિયામાં સોમવારે કે મંગળવારે પુલનું લોખંડનું માળખુ હટાવવાના કામની શરૂઆત કરવામાં આવશે એવી માહિતી મહારેલના વ્યવસ્થાપકીય સંચાલક રાજેશકુમાર જયસ્વાલે આપી હતી. મધ્ય રેલવેમાં રાતના સમયે મોટા પ્રમાણમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસની અવરજવર ચાલુ હોય છે. તેથી રાતના સમયે લેવામાં આવનારા 19 બ્લોકના લીધે લોકલ ટ્રેન સાથે જ મેલ-એક્સપ્રેસની અવરજવર પર અસર થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ફરિયાદ:તળાજાના બોડકી ગામે સમાધાન માટે આવેલા ત્રણ શખ્સોએ કારના કાચ ફોડ્યા

તળાજા તાલુકાના બોડકી ગામે રહેતા આધેડના નાના ભાઇ સાથે તળાજાના પાદરી ભમર ગામે રહેતા ત્રણ શખ્સોને વાડીની કેનાલમાં ચાલવા બાબતે અગાઉ ઝઘડો થયેલો હતો. જેને લઇને આધેડે ત્રણેય શખ્સોને કેનાલ પાસે સમાધાન માટે બોલાવ્યા હતા. જ્યાં સમાધાન માટે આવેલા ત્રણેય શખ્સોએ ફરી આધેડના નાનાભાઇ સાથે બોલાચાલી કરી, આધેડની કારના કાચ ફોડી, ગાળો આપી, ઝપાઝપી કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જે મામલે આધેડે ત્રણેય શખ્સો વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તળાજાના બોડકી ગામ ભુંગર રોડ પર રહેતા આધેડ મસરીભાઇ રામભાઇ ભાદરકાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના નાનાભાઇ અજુભાઇ ઉર્ફે અરજણભાઇ ભાદરકા સાથે તેમની વાડીએ ચાલવા બાબતે પાદરી ભમર ગામે રહેતા પાતુભાઇએ બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો. જેને લઇને મસરીભાઇએ પાતુભાઇને કેનાલ પાસે સમાધાન માટે બોલાવેલ હતા. જે બાદ મસરીભાઇ અને તેમનો ભાણો બંન્ને તેમની ક્રેટા કાર નં. GJ 03 KP 0638 લઇને કેનાલ પાસે પહોંચ્યા હતા જે દરમિયાન પાદરી ભમર ગામે રહેતા પાતુભાઇ કરણાભાઇ ભુવા, રાજુ મધુભાઇ ભુવા અને મધુ લોમાભાઇ ભુવા લોખંડના પાઇપો સાથે આવ્યા હતા અને ફરી પાતુભાઇએ અજુભાઇ સાથે કેનાલ બાબતે બોલાચાલી કરતા, મસરીભાઇએ બોલાચાલી ન કરવા જણાવતા, ત્રણેય શખ્સોએ લોખંડના હથિયારોથી મસરીભાઇની ક્રેટા કારના કાચ ફોડી, નુકશાન કર્યું હતું. અને મસરીભાઇને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થતાં ત્રણેય શખ્સો વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

કામગીરી:શહેર-જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન બાઇક, ટ્રક ચલાવતા 12 સગીરોના વાલી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

ભાવનગર શહેર જિલ્લામાં પુરાપટ વાહન ચલાવતા સગીરો વિરૂદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. અને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરી સગીર ચાલકોને વાહનો સાથે ઝડપી લઇ, સગીરોના વાલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેર અને જિલ્લામાં વધુ બાર જેટલા સગીરો બાઇક તેમજ ટ્રક લઇને પુરપાટ ઝડપે નિકળતા, વાહનો કબ્જે કરી,સગીરના વાલી વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. ભાવનગર પોલીસે ચેકીંગ દરમિયાન મહંમદી એપાર્ટમેન્ટ માં રહેતા સિકંદર ભાઈ ગફારભાઈ કુરેશી, પાળીયાદ ગામે રહેતા જગદીશભાઈ ઘનશ્યામભાઈ બારૈયા ના સગીર પુત્રને લાઇસન્સ વગર બાઈક પર ભાવનગર અમદાવાદ હાઈવે માઢીયા પાસેથી પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં જતા, ભાવનગર તાલુકાના ભડભીડ ગામે રહેતા હસમુખભાઈ જેન્તીભાઈ વેગડ ના સગીર પુત્રને પણ લાયસન્સ વગર બાઇક ચલાવવા તેમજ બરવાળા ગામે રહેતા ઘુઘાભાઈ નાથાભાઈ ઠોળિયા ના સગીર પુત્રને પણ અશોક લેલન કંપનીનો ટ્રક વગર લાયસન્સે લઈ ભાવનગર અમદાવાદ હાઈવે પર ગણેશગઢ પાસેથી પૂરપાટ ઝડપે ટ્રક ને ચલાવીને નીકળતા ત્રણે સગીરો ની અટક કરી તેના વાલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. આ સિવાય નિલેશ બટુકભાઇ સિદ્ધપુરા, કમલેશ કાળુભાઇ મેર, ઘનશ્યામ રાજેન્દ્રભાઇ જોષી, નરેશ શીવાભાઇ બારૈયા, સુનીલ ભરતભાઇ ચુડાસમા, જીતેન્દ્રભાઇ શંકરલાલ કુકડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

તંત્ર હરકતમાં:દબાણો સામે મહુવામાં તંત્રનું બુલડોઝર તૈયાર

ગઇકાલે જ સિહોરમાં સિહોર ભાવનગર હાઇવે પર અસંખ્ય ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવીને કરોડો રૂપિયાની સરકારી જમીનને ખુલ્લી કરવાઇ હતી બાદમાં હવે મહુવા નગરપાલિકાએ પણ નગરપાલિકા વિસ્તારમાં લારી ગલ્લા બાકડા,કેબીન સહિતના દબાણો સામે લાલ આંખ કરીને છે અને દબાણકરનારાઓને 7 દિવસમાં સ્વૈચ્છાએ દુર કરવા તાકીદ કરી છે અને જો નહીં હટાવે તો તંત્રનું બુલડોઝર ફરી વળશે તેવી ચિમકી આપી છે. મહુવામાં આવેલ જાહેર રોડ ઉપર લારી ગલ્લા, બાકડા ટેબલ-ખુરશી, કેબીન, મંડપ, ઝુપડા, લાકડા વગેરે મૂકી દબાણ કરેલ આસામીઓને નગરપાલિકા દ્વારા આપેલ નોટીસ મળ્યેથી સાત દિવસમાં આસામીઓએ સ્વેચ્છાએ દબાણ દુર કરવા અન્યથા આસામીઓના ખર્ચે અને જોખમે નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવામાં આવશે અને કોઈ માલ-સામાનને નુકશાન થશે તો તેની જવાબદારી આસામીઓની રહેશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ છે. મુખ્ય રોડ ઉપર બન્ને બાજુ કેબીન લારીની બબ્બે હરોળ, વાહનોના આડેધડ પાર્કિગના કારણે રોડ સાંકડા થઇ ગયા છે. ફુટપાથનું અસ્તિત્વ જ નથી રહ્યુંમહુવા નગરપાલીકા દ્વારા રોડની બન્ને બાજુ પેવર બ્લોક પાથરી રાહદારી માટે ફુટપાથ બનાવી છે પરંતુ આ ફુટપાથ ઉપરના લારી, કેબીન, મંડપ, બાંકડા, ટેમ્પા, રીક્ષા મુકી વેપાર કરતા લોકો દ્વારા થતા દબાણોએ ફુટપાથનું અસ્તિત્વજ રહેવા દીધુ નથી. શહેરના અન્ય તમામ વિસ્તારોમાં કેબીનો, લારી ગલ્લા અને પાથરણા બિલાડીના ટોપ માફક ફુટી નિકળ્યા છે.ગાંધીબાગ જેવા ભરચક વિસ્તારોમાં સાંઠગાંઠથી ટેમ્પરરી ડોમ ઉભા કરી લાખો રૂપિયાનો વેપાર કરી જતા રહેતા વગવાળા માણસોના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ પણ ઉદ્દભવે છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

વીજ ચેકિંગ:ભાવનગર સિટી-2 ડિવિઝનમાંથી રૂા. 39.37 લાખની વીજચોરી પકડાઈ

પી.જી.વી.સી.એલ. કોર્પોરેટ અને સ્થાનિક ટીમોની સતત ત્રીજા દિવસની વીજ ચેકિંગની કાર્યવાહીમાં ઘોઘા અને ચિત્રા, ઘોઘા અને ચિત્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી વીજ ચેકિંગની કાર્યવાહીમાં રૂ.39.37 લાખની વીજચોરી ઝડપાઇ હતી. ચિત્રા વિસ્તારને વીજળી પુરી પડતા 11 કે.વી.ના હાદાનગર અર્બન અને મીરાનગર અર્બન ફિડરમાં ગ્રાહકોના વીજ જોડાણની ચકાસણી કરવામાં આવી હતી. ઘોઘા અને મામસા સબ ડિવિઝનમાં આવતા 11 કે.વી.ના લાખણકા જ્યોર્તિગ્રામ, નિષ્કલંક જ્યોર્તિગ્રામ, સોલ્ટ જ્યોર્તિગ્રામ, રાણાધાર જ્યોર્તિગ્રામ, સાણોદર જ્યોર્તિગ્રામ, ઉખરલા જ્યોર્તિગ્રામ તેમજ થળસર ખેતીવાડી ફિડરને નિશાન બનાવાયા. 11 કે.વી. ફિડરો નીચેના અવાણીયા, ભડભડિયા, હાથબ, લાખણકા, થળસર, છાયા, મામસા, સારવદર અને નેસવડ ગામમાં વીજ જોડાણની તપાસ કરાઈ હતી. 590 રહેણાંકી, 59 વાણિજ્ય અને 7 ખેતીવાડી શ્રેણીના કુલ 656 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 83 રહેણાંકી, 9 વાણિજ્ય અને 1 ખેતીવાડી શ્રેણીના 93 વીજ જોડાણમાંથી વીજચોરી ઝડપાઈ છે. વીજ લોસ ઘટાડવા ચેકિંગની કાર્યવાહી જારી રહેશે11 કે.વી.ના ઇલેક્ટ્રિક ફિડરોના ડેટા એનાલિસિસના આધારે વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં હજુ પણ સબ ડિવિઝનોમાં વીજ લોસ ઘટાડવા વીજ ચેકિંગની કાર્યવાહી જારી રહેશે. એસ.એ.ત્રિવેદી એક્ઝિ. એન્જિનિયર, PGVCL ભાવ. સિટી-2 ડિવિઝન નેસવડમાં વીજ ચોરી કરતા વાણિજ્ય યુનિટને 5 લાખનો દંડમામસા સબ ડિવિઝન નીચે આવતા નેડવડમાં ચેકિંગ દરમિયાન ફેબ્રિકેશનના એક યુનિટમાં ડાયરેક્ટ વીજ જોડાણ લીધું હોવાનું માલુમ પડતા આ વાણિજ્ય યુનિટને વીજ ચોરી બદલ રૂ.5 લાખનો દંડ ફટકારાયો હતો.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:દાહોદમાં ગોગો પેપર, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો જંગી જથ્થો જપ્ત

દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લર અને વ્યાપારી એકમો પર એકસાથે દરોડા પાડી પોલીસે પ્રતિબંધિત ગોગો પેપર, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો આશરે રૂા.90,000થી વધુનો જથ્થો જપ્ત કરી 6 શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. યુવા અને સગીર વયના બાળકોમાં વધતી નશાની પ્રવૃત્તિ ડામવા ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ બાદ દાહોદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નશા સહાયક સામગ્રી ગોગો પેપર અને સ્મોકિંગ કોન જેવી સામગ્રી ઉપર પ્રતિબંધ મુકવા સાથે જ દાહોદમાં બસ સ્ટેશન રોડ, શિવાજી સર્કલ, યાદગાર ચોક અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાન પાર્લર અને ચા સહિતની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સૌથી મોટી કાર્યવાહી યાદગાર ચોક પાસેની વિષ્ણુ ટ્રેડર્સમાં કરવામાં આવી હતી. જ્યાંથી રૂા.58,000ની કિંમતના રોલિંગ પેપર અને વિવિધ સ્મોકિંગ કોન મળી કુલ રૂા.78,960નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત શિવ પાન પેલેસ, ઝુલેલાલ પાન કોર્નર, મી ચાય સુટ્ટા અને રીફ્રેશ પાન પોઈન્ટ જેવા એકમો પરથી પણ પ્રતિબંધિત નશાસહાયક સામગ્રી પકડાઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસે રમેશ રાવલ, ગુલશન ભોજવાણી, ભરત પ્રીતમાણી, અનિશ ભામી, અનિલ પરમાર અને રાજેશભાઇ નામક વેપારી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા–2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરતાં ખળભળાટ મચી ગયો હતો. સ્મોકિંગ પેપરમાં કયા કેમિકલનો ઉપયોગ, શું જોખમ‎ગોગો પેપર અને સ્મોકિંગ કોનમાં જોખમી કેમિકલ્સનો ઉમેરો કરાય છે. આ પેપરને સફેદ કરવા માટે વપરાતા ક્લોરિન‎જેવુ બ્લીચિંગ સળગતી વખતે અત્યંત ઝેરી ‘ડાયોક્સિન'' વાયુ પેદા કરે છે. જ્યારે તેને ચોકલેટ, વેનીલા કે ફ્રૂટ જેવી સુગંધ‎‎આપવા અને આકર્ષક બનાવવા ઉમેરાતા કૃત્રિમ ફ્લેવર્સ ફેફસાંમાં ગંભીર‎‎સોજો અને બળતરા પેદા કરી શકે છે. કાગળને ચોંટાડવા માટે ઉપયોગમાં‎લેવાતા ગુંદર સળગતા જ હાનિકારક ધુમાડો ઉત્પન્ન કરે છે. સાથોસાથ કાગળ એકસરખો સળગે તે માટે તેના પર‎પોટેશિયમ નાઈટ્રેટ જેવા કેમિકલ્સનું ખાસ કોટિંગ કરવામાં આવે છે. જે શ્વાસ લેવામાં સીધી તકલીફ ઊભી કરે છે. આ‎તમામ કેમિકલ્સનું મિશ્રણ નશો કરનારના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થાય છે.‎ ગોગો પેપર અને સ્મોકિંગ કોનનો શું ઉપયોગગોગો પેપર અને સ્મોકિંગ કોનનો ઉપયોગ મુખ્યત્વે ગાંજો, તમાકુ અથવા અન્ય નશીલા પદાર્થોને વીંટાળીને સિગારેટની જેમ પીવા માટે કરવામાં આવે છે. ગોગો પેપર એક પાતળું કાગળ છે જેમાં નશીલા પદાર્થને હાથેથી રોલ કરવામાં આવે છે. જ્યારે સ્મોકિંગ કોન એ પહેલેથી તૈયાર કરેલો શંકુ આકારનો ખાલી પાઈપ જેવો કાગળ હોય છે. જેમાં સીધો નશીલો પદાર્થ ભરીને તુરંત ઉપયોગમાં લઈ શકાય છે. આ સાધનો નશાકારક દ્રવ્યોના ધુમાડાને ફેફસાં સુધી ખેંચવામાં મદદરૂપ થાય છે. જેના કારણે યુવા પેઢીમાં તે નશો કરવાના એક માધ્યમ તરીકે પ્રચલિત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

આત્મનિર્ભર:41 બહેનોને બેન્કને લગતી તાલીમ અપાય

ભરૂચ જિલ્લામાં 2 દિવસીય વિત સખી તાલીમની શરૂઆત કરવામાં આવી. જેમાં લીડ બેંક મેનેજર જિલ્લા લાઈવલીહુડ મેનેજ.જિલ્લા એ. પી. અમે એનઆરપી દીક્ષિત હાજર રહી તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ તાલીમથી વિત સખીના સક્ષમતા વર્ધન કરી આવનાર સમયમાં લઘુ ઉધોગ ધિરાણ માટે અગત્યની ભૂમિકા ભજવશે. તેમજ બેંક અને ઉદ્યોગ સાહસિક વચ્ચે કડી બની ભરૂચ જિલ્લામાં વધુમાં વધુમાં ઉદ્યોગ સહાસિક બને તેવી કામગીરી કરવામાં આવશે. આ તાલીમમાં ભરૂચના વિવિધ તાલુકામાંથી 41 જેટલા સખી મંડળની બહેનો હાજર રહી વિત સખીનું ભૂમિકા અને એન્ટરપ્રાઈઝ ફાઇનાન્સ વિષય ઉપર તાલીમ લેવામાં આવી હતી. આ વીત કે બેન્ક સખી ગ્રામ્ય કક્ષાએ જઈને મંડળની બહેનો કે અન્ય મહિલાઓને પોતાનો ઉદ્યોગ માટે કે અન્ય કારણ માટે બેંક માંથી લોન સહિત બેંકને લગતી કોઈ પણ યોજના અને વીમા સહિતની માહિતી માટે બેંક સખી કામગીરી કરશે. આ બેન્ક સખીને ટાઈફંડ તરીકે રૂપિયા 3 હજાર પણ આપવામાં આવશે. આમ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

કાર્યવાહી:સાયબર ફ્રોડ કેસ, કલ્યાણગીરી શનિવાર સુધી રિમાન્ડ પર

ભવનાથ ખાતેના અવધૂત આશ્રમની ગૌશાળાના કર્તાહર્તા કલ્યાણગીરીના 3 બેંક ખાતા પર સાયબર ફ્રોડની 8 ફરિયાદના 40.76 લાખ જમા થયા હતા અને તેમણે બધા પૈસા ઉપાડી લીધાં હોવાનું તપાસમાં ખુલતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે સાધુની ધરપકડ કરી હતી. તપાસનીશ તાલુકા પીઆઇ એફ. બી. ગગનીયાએ તપાસના 8 મુદે કલ્યાણગીરીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. પરંતુ અદાલતે તા. 20 ડિસેમ્બર સુધી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાધુના રિમાન્ડ મળતાંની સાથે પોતાના તથા ગૌશાળાના બેંક ખાતામાં લોકોના સાયબર ફ્રોડના જમા થયેલા 40.76 લાખ ઉપાડી ક્યાં સગેવગે કર્યા, સાથે કોની કોની સંડોવણી હતી, કેટલું કમિશન મેળવી બેંક એકાઉન્ટ ભાડે કોને ભાડે આપ્યું સહિતના 8 મુદે કલ્યાણગીરીની પૂછપરછ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ફરિયાદ:મેમકા ઝાપોદર રોડ પર ખનીજ ટીમની ગાડીના દરવાજા સાથે ભૂમાફિયાએ ડમ્પર ભટકાડ્યું

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમ ગેરકાયદે ખનીજ વહન થતુ અટકાવવા ફરજ બજાવવા ગઇ હતી. ત્યારે ડમ્પરમા ગેરકાયદે બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી નિકળતા ટીમે ડમ્પરના ચાલકને હાથથી ઈસારો કરી ઉભુ રખાવવા પ્રયત્ન કરતા ઉભુ રાખ્યું ન હતું. આથી મેમકા ઝાપોદર રોડ પર આ ડમ્પરનો પીછો કરતા ડમ્પર ચાલક પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રોડ ઉપર કાવા મારી ખનીજની ટીમને ઓવરટેક કરવા નહી દઈ ફરજમાં અડચણ રૂપ કર્યુ હતુ. સફેદ કલરની સ્વિફ્ટ ગાડીના બે લોકો ખનીજની ગાડીને ઓવરટેક કરી સ્વિફ્ટ ગાડી ધીમે ચલાવી બ્રેકો મારી શખસોએ આગળ જતા ડમ્પરનો ઓવરટેક કરવા દીધો ન હતો. આ ઉપરાંત ખનીજ ટીમની ગાડીની ખાલી સાઈડના દરવાજા સાથે ભટકાડી નુકશાન કર્યું હતું. વઢવાણ પોલીસ મથકે ડમ્પરનો ચાલક, સ્વીફટ ગાડનો ચાલક અને તેમાં બેસલા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ડમ્પર ચડાવી દઈ મારી નાખવાની ધમકી આપી‎સ્વિફ્ટમાંથી 2 શખસે અમારા ડમ્પરનો પીછો કરવો નહીં, નહી તો ડમ્પર માથે ચડાવી દઈ મારી નાખવાની ધમકી આપી હતી. સિક્યુરીટી ગાર્ડ ગુલાબભાઈ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. 1 ડમ્પરમાંથી બ્લેક ટ્રેપ ખનીજ રોડ ઉપર ખાલી કરી 1 શખસ ડમ્પર લઈ નાશી ગયો હતો. > હિરેનકુમાર પી.સંડેરા, રોયલ્ટી ઇન્સ્પેકટર, ખાણ ખનિજ વિભાગ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ભાસ્કર નોલેજ:સિવિલમાં 76 વર્ષીય ફ્રેક્ચર થયેલા વૃદ્ધને સ્ટાફે રસ્તા પર રઝળતા મૂક્યા

પંચમહાલ જિલ્લાની મુખ્ય ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફની વધુ એકવાર સંવેદનહીનતા સામે આવી છે. શહેરા તાલુકાના ઘરોલાખુર્દ ગામના 76 વર્ષીય વૃદ્ધ દર્દીને ડિસ્ચાર્જ આપ્યા બાદ, હોસ્પિટલના સ્ટાફે તેમને વ્હીલચેર પરથી ઉતારી મુખ્ય પ્રવેશદ્વાર પાસે રસ્તા પર રઝળતા મૂકી દેતા ચકચાર મચી ગઈ છે. શહેરાના ઘરોલાખુર્દ ગામના વતની ચૌહાણ મોહનસિંહ અમરસિંહનો ડાબો હાથ ફ્રેક્ચર થયો હોવાથી તેમને સારવાર માટે ગોધરા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થતા તબીબોએ તેમને રજા (ડિસ્ચાર્જ) આપી હતી. વૃદ્ધ હોવાથી તેઓ ચાલી શકે તેમ નહોતા. આથી તેમનો પુત્ર તેઓને લેવા માટે રિક્ષાની વ્યવસ્થા કરવા તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન સિવિલના સ્ટાફે ઉતાવળ કરી વૃદ્ધને વ્હીલચેર પર બેસાડી હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે લાવ્યા હતા. રિક્ષા હજુ આવી ન હોવા છતાં, સ્ટાફે માનવતા નેવે મૂકી વૃદ્ધને રસ્તા પર જ વ્હીલચેર પરથી ઉતારી દીધા હતા. હાથમાં પાટો અને શરીરે અશક્ત એવા 76 વર્ષીય મોહનસિંહ કલાકો સુધી જમીન પર એક પોટલાના સહારે બેસી રહેવા મજબૂર બન્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલ માં બનેલી આ ઘટનામાં પ્રોટોકોલનો સ્પષ્ટ ભંગ થયો છે. દર્દીને વ્હીલચેર પરથી ઉતારીને રસ્તા પર મૂકી દેવા એ માત્ર બેદરકારી નહીં પણ અપમાનજનક કૃત્ય છે. મારા પિતાને રસ્તે રઝળતા કરી દીધામારા પિતાને હાથે ફ્રેક્ચર હોવાથી ઓપરેશન કરવામાં આવેલ હતું. તેઓ વૃદ્ધ હોય સર્જરી / ફ્રેક્ચરને કારણે અશક્ત હતા છતાં વહીલચેર પરથી ઉતારી મુકવામાં આવેલ હતા. જે તે સમયે મારી માતા પણ સાથે હતા. હું ઘેર જવા માટે બહાર રીક્ષા લેવા માટે જતો હતો. તે દરમ્યાન મારા પિતાને નીચે ઉતારી મુકવામાં આવેલ હતા. - ચૌહાણ દલપતસિંહ, દર્દીના પુત્ર હોસ્પિટલની શું જવાબદારી હોય{ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીની સુરક્ષા અને ગરિમા જાળવવા માટે ચોક્કસ પ્રોટોકોલ હોય છે { નિયમ મુજબ, જ્યાં સુધી દર્દી પોતાના વાહનમાં સુરક્ષિત રીતે બેસી ન જાય ત્યાં સુધી હોસ્પિટલના સ્ટાફે (વોર્ડ બોય અથવા એટેન્ડન્ટ) તેને વ્હીલચેર પર જ રાખવો જોઈએ. { સુરક્ષિત હેન્ડઓવર : હોસ્પિટલના મુખ્ય દ્વાર સુધી નહીં, પણ દર્દીના વાહન સુધી વ્હીલચેર લઈ જવાની જવાબદારી હોસ્પિટલ તંત્રની છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:કીડીયા આરોગ્ય સેન્ટરનાCHOની સેવાઓ સમાપ્તીનો હુકમ કરાયો

મહીસાગર કલેક્ટર અર્પિત સાગરે ગત શુક્રવારે કીડિયા PHCની ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે આરોગ્ય વિભાગની સેવાઓની સમીક્ષા કરી હતી. પરંતુ આ મુલાકાત દરમિયાન PHCમાંથી મોટી માત્રામાં એક્સપાયરી ડેટ (મુદત પૂરી થયેલી) દવાઓ અને ઇન્જેક્શનોનો જથ્થો મળી આવ્યો હતો. મોટી માત્રામાં એક્સપાયરી થયેલી દવાઓ અને ઇન્જેક્શનોનો જથ્થો મળી આવતા કલેક્ટર અચંબીત થઇ ગયા હતા. આરોગ્ય વિભાગની બેદરકારી જોવા મળી હતી. જેથી કલેક્ટર દ્રારા તાત્કાલીક જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતા ​આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમા તપાસ કરતા દવાઓના સ્ટોકમાં એવી દવાઓ પણ હતી જેની એક્સપાયરી ડેટ પૂરી થઈ ચૂકી હતી. આરોગ્ય વિભાગે તાત્કાલિક આવી દવાઓ એકત્રિત કરી જવાબદાર સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમા કીડીયા આરોગ્ય સેન્ટરના CHO ધાત્રીબેન પટેલની સેવાઓ સમાપ્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અગાઉ મૂનપુર આરોગ્ય વિભાગમા પણ એક દોઢ વર્ષના બાળકને એક્સપાયર ડેટ વાળી દવા આપી હોવાની ઘટના બની હતી. જ્યારે છેવાડાના માનવીને આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની જવાબદારી આવા આરોગ્ય કેન્દ્રો પર હોય છે. કડક પગલાં લેવા આરોગ્યને જણાવ્યુંમહીસાગર જિલ્લાના કીડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે બનેલી આ ઘટના ખરેખર ગંભીર છે.આ બાબતે જવાબદાર સામે કડક પગલાં લેવા જિલ્લા આરોગ્ય વિભાગને જણાવ્યું હતું. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા એક્સપાયરી દવાઓના નિકાલ માટેની પ્રવર્તમાન પ્રણાલીની સમીક્ષા કરી તેમાં સુધારો કરવા અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા જાણ કરી છે. - અર્પિત સાગર, જિલ્લા કલેક્ટર,મહીસાગર સમયાંતરે ‘સરપ્રાઈઝ ચેકિંગ' થવું જોઈએ​જિલ્લામા ફરી આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવતા સામાન્ય જનતામાં સરકારી આરોગ્ય કેન્દ્રો પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ફરી આવી ઘટના ના બને તે માટે જિલ્લાના તમામ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર દવાઓના સ્ટોકનું તાત્કાલિક ઓડિટ થવું જોઈએ દવાઓના એક્સપાયરી ડેટના ટ્રેકિંગ માટે ઓનલાઈન પોર્ટલનો કડક અમલ થવો જોઈએ, જેથી એક્સપાયરીના 3 મહિના પહેલા એલર્ટ મળે માત્ર કલેક્ટર જ નહીં, પણ તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા સમયાંતરે ‘સરપ્રાઈઝ ચેકિંગ' થવું જોઈએ જવાબદારી નક્કી કરવી અને માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ નહીં, પણ દેખરેખમાં નિષ્ફળ ગયેલા ઉચ્ચ અધિકારીઓની જવાબદારી પણ નક્કી થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:મહાશિવરાત્રિનો મહામેળો : કુંભની જેમ રાષ્ટ્રીય આયોજન થશે, રવેડીને અપાશે ગાર્ડ ઓફ ઓનર

શિવરાત્રિના મેળો જૂનાગઢમાં થાય છે પણ તેમાં ભાગ લેવામાં માત્ર ગુજરાત જ નહિ પણ દેશ-વિદેશથી ભાવિકો આવે છે. તેમાં પણ સાધુ-સંતોની નીકળતી રવેડી સૌથી મોટું આકર્ષણ છે. તેવામાં આ વખતે શિવરાત્રિના મેળા માટે રાજ્ય સરકાર, જૂનાગઢ વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ આયોજનને કુંભમેળાની જેમ રાષ્ટ્ર સ્તરીય આયોજન કરવાનો નિર્ધાર કર્યો છે. આ આયોજન માટે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શ્રીપંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જૂનાગઢ ગિરનાર મંડળના પ્રમુખ ઈન્દ્રભારતીબાપુએ મેળાને મહાશિવરાત્રિનો મહામેળો નામ આપીને 35 મુદ્દા સૂચવ્યા છે જેમાં રવેડીને ગાર્ડ ઓફ ઓનરનો પણ ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દાઓ પર કામ કરવા માટે પ્રવાસન સચિવને નાયબ મુખ્યમંત્રીએ જવાબદારી સોંપી છે. ટૂંક સમયમાં જ અલગ અલગ એજન્સીઓ જૂનાગઢમાં સરવે કરશે અને 15 દિવસ બાદ હર્ષ સંઘવી પણ જૂનાગઢ આવીને બેઠક કરશે. શિવરાત્રિના આયોજન માટે ગાંધીનગર હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયા, નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને સાધુ-સંતો પહોંચ્યા હતા. સચિવ રાજેન્દ્રકુમાર અને આલોક પાંડે પણ હાજર હતા. ઈન્દ્રભારતીબાપુ નાદુરસ્ત તબિયતને કારણે જઈ શક્યા ન હતા પણ તેઓએ પોતાના 35 મુદ્દા જિલ્લા વહીવટી તંત્રની ટીમ મારફત પહોંચાડ્યા હતા જ્યાં પ્રેઝેન્ટેશન થયું હતું. સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે, મેળાને મહાશિવરાત્રિનો મહામેળો નામ આપીને કુંભમેળાની જેમ રાષ્ટ્રીય સ્તરનું આયોજન કરવું જોઈએ. ખાસ કરીને રવેડી શરૂ થાય તે પહેલાં ત્રણેય અખાડા અને દેવી-દેવતાઓને માન સન્માન આપવા માટે ગાર્ડ ઓફ ઓનર આપવાની નવી પ્રથા શરૂ કરવી જોઇએ. મજેવડી દરવાજાથી કાળવા ચોક અને સમગ્ર ગિરનાર ક્ષેત્રને મેળાક્ષેત્ર જાહેર કરવું જોઇએ. આ બધા સ્થાનોએ મોટી સ્ક્રીન મૂકીને રવેડીનું લાઈવ પ્રસારણ તેમજ ધાર્મિક કાર્યક્રમો બતાવવા જોઇએ. ભવનાથ મહાદેવ મંદિર કે જેમાં હાલ વહીવટદાર નિમાયા છે ત્યાં પાંચ દિવસ સુધી કામચલાઉ મહંતની નિમણૂક કરવી જેથી બધી ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે. લોકો રવેડીનો આનંદ માણી શકે તે માટે રવેડીનો રૂટ વધારીને દામોદર કુંડ સુધી લઈ જવા માટે ખાસ સૂચન કરાયું છે. આ સહિતના મુદ્દાઓ પર વિચાર શરૂ થયો છે અને તેના સરવે માટે અલગ અલગ એજન્સીઓ જૂનાગઢ આવશે અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી પણ જૂનાગઢ આવીને આ મેળાના આયોજન માટે બેઠક બોલાવવાના છે. વહીવટ માટેનો ખર્ચ કલેક્ટર હસ્તકે, મેળા અધિકારીની નિમણૂક કરવીમહામેળાના આયોજન માટે સરકાર તરફથી જે પણ ખર્ચ કરવામાં આવે તે કલેક્ટરને હસ્તક હોવું જોઈએ. કલેક્ટર આ માટે સમિતિની રચના કરે જેમાં સાધુ-સંતો, પ્રજાના પ્રતિનિધિઓ હોય. મેળાનો ખર્ચ જે થાય તે બિલ કમિટીમાં મુકાય અને સર્વાનુમતે ખર્ચ મંજૂર થાય તો જ ચૂકવણું કરવામાં આવે. મેળાના આયોજન માટે ખાસ મેળા અધિકારીની નિમણૂક કરવામાં આવે તે પણ સૂચન કરાયું છે. વિદેશથી સેલિબ્રિટીઓને બોલાવી સનાતન સંસ્કૃતિના દર્શન કરાવાશેઆ મુદ્દાઓ પર સરકાર કામ કરશે પણ ભારતીય સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે વિદેશથી વિવિધ સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવશે. તે તમામને શિવરાત્રિ શું છે, રવેડી શું છે, તેના મેળાનું મહત્ત્વ સમજાવવામાં આવશે. વનવિભાગ પાસેથી 150 એકરની જગ્યા કામચલાઉ ધોરણે મેળવવીકુંભમેળાના આયોજન દરમિયાન વનવિભાગ પાસેથી જમીન મેળવીને ત્યાં આયોજન કરાયું હતું. તેવી જ રીતે મહામેળા માટે જૂનાગઢ વનવિભાગ પાસેથી 150 એકરની જગ્યા કામચલાઉ ધોરણે મેળવીને ત્યાં અખાડાઓ માટે ઉતારા સહિતની વ્યવસ્થા કરવી અને મેળો પૂર્ણ થાય એટલે સફાઈ કરીને ફરી વનવિભાગને હવાલે કરી દેવા સૂચન કરાયું છે. મહાશિવરાત્રિના મહામેળા માટે આ મુદ્દાઓ પર પણ થશે આયોજનઉતારા મંડળો પાસેથી લાઈટ, પાણી, સફાઈ અંગેનો ખર્ચ કે ચાર્જ વસૂલવો નહિ, દરેક ઉતારે શૌચાલય બનાવવા અને સફાઈ રાખવી, જનતા પરેશાન ન થાય તેવી રીતે સાધુ-સંતોને ધુણા માટે 10 બાય 10ના ગાળાની જગ્યા આપવી, મેળાના શરૂઆતના બે દિવસમાં પાસવાળા વાહનોને પ્રવેશ આપવો છેલ્લા દિવસે વીવીઆઈપી કે કોઇપણને પ્રવેશ ન આપવો, મેળાના વાતાવરણને કોઇ અસામાજિક તત્ત્વો બગાડવાનો પ્રયાસ કરે તો તાત્કાલિક ધરપકડ કરવી, દામોદર કુંડમાં સતત પાણી વહેતું રહે તેવી વ્યવસ્થા કરવી અને મૃગીકુંડની સફાઇ કરવી, રવેડીના રૂટ દરમિયાન અમુક સ્થળોએ પુષ્પવર્ષા કરવી, કુંભમેળાની જેમ ભૂલ્યા ભટક્યા ક્ષેત્રના સ્ટોલ રાખવા, ઉતારા મંડળો સહિતનાઓને જીવન જરૂરી ચીજવસ્તુ લાવવા માટે રાત્રિના બેથી ચાર વાગ્યા સુધીનો સમય માટે વાહનોના અલગથી પાસ આપી પ્રવેશ આપવો. ખાસ કરીને ધાર્મિક લાગણી દુભાય તેવા ઈન્ટરવ્યૂ, જાહેરાતો કે સોશિયલ મીડિયામાં કોઇ પોસ્ટ વાઇરલ થતી અટકાવીને ધાર્મિક સોહાર્દ જાળવવું.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી:ગેલેક્સી ગ્રૂપના5 સભ્યને રૂ.4.46 કરોડ ભરવા આદેશ

રાજકોટ સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્ર રાજકોટ શહેર દ્વારા ભાગીદારી પેઢીમાં કરોડોની મિલકત સાથે ભાગીદારને દાખલ કરી બાદમાં આ મિલકત ભાગીદાર પેઢીમાં આવી ગયા બાદ મિલકત લાવનાર આસામી ભાગીદારી પેઢીમાંથી છૂટા થઇ જતા આ કિસ્સામાં શહેરના જાણીતા ગેલેક્સી ગ્રૂપના છ ભાગીદારને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાત માટે રૂ.3.71 કરોડથી વધુના દંડ સહિત રૂ.4.46 કરોડ ભરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટની મેસર્સ ખેડૂત નામની ભાગીદારી પેઢીમાં તા.20-03-2012માં રવજીભાઈ ભાણજીભાઇ ભાડજા વર્ષ 2010માં દસ્તાવેજ અનુક્રમ નંબર 7073થી ખરીદેલી મિલકત લઈ ભાગીદારી પેઢીમાં જોડાય છે. જેમાં ભાગીદારી લેખમાં મિલકતની બજાર કિંમત રૂ.15,30,97,383 નક્કી કરવામાં આવે છે. જોકે, ભાગીદારી પેઢીમાં જોડાયેલ રવજીભાઈ ભાણજીભાઇ ભાડજાને ભાગીદારી ડીડમાં હકીકતમાં રૂ.75,01,773 વાપરવી પડે, પરંતુ ભાગીદારી પેઢીમાં 10 હજાર રૂપિયા જ સ્ટેમ્પ ડ્યૂટી વાપરવામાં આવી હતી અને ભાગીદારી પેઢીમાં મિલકત સાથે જોડાયેલા ભાગીદાર રવજીભાઈ ભાણજીભાઇ ભાડજા બાદમાં ભાગીદારી પેઢીમાંથી નીકળી ગયા હતા. આ પ્રકરણ સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના ધ્યાને આવતા ભાગીદારી પેઢીમાં મિલકત સાથે આવેલ ભાગીદાર મિલકત પેઢીને આપી નીકળી ગયા હોય સ્ટેમ્પ ડ્યૂટી રાજકોટ શહેર કચેરી દ્વારા મેસર્સ ખેડૂત પેઢીના ભાગીદાર એવા રવજીભાઈ ભાણજીભાઇ ભાડજા, રાજેશભાઈ ગોવિંદભાઇ પટેલ, કિરણભાઈ વાલજીભાઇ ભાલોડિયા, રશ્મિકાંતભાઈ વાલજીભાઇ ભાલોડિયા, રજનીકાંત મોહનલાલ ભાલોડિયા અને નવીનચંદ્ર મોહનલાલ પટેલને મેસર્સ ખેડૂત નામની ભાગીદારી પેઢીના તમામ ભાગીદારોને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી તેમજ વિવિધ કલમનાં દંડ સહિત કુલ રૂપિયા 4,46,22,601 રૂપિયા ભરવા હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સપોઝ:શહેરના બ્યુટીફિકેશનના નામે સર્કલ પર એજન્સીઓનો જાહેરાતનો ધીકતો ધંધો, મહાપાલિકાના આંખ આડા કાન

શહેરના બ્યુટીફિકેશન માટે રાજકોટ મહાનગરપાલિકાએ પીપીપી યોજના હેઠળ 62માંથી 31 સર્કલ પાંચ વર્ષ માટે ખાનગી એજન્સીને સોંપ્યા છે અને બાકીના 11 સર્કલ એજન્સીને પીપીપી યોજનાથી આપવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જાહેર સ્થળોની સુંદરતા વધારવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હકીકતમાં આ યોજના આજે શહેરના સર્કલને ખાનગી કમાણીના કેન્દ્રમાં ફેરવી ચૂકી છે અને સર્કલ પીપીપી યોજનાથી પાંચ વર્ષ માટે ભાડે રાખનાર એજન્સીઓ અન્ય પેઢીઓ અને કંપનીઓને તેમની જાહેરાત માટે બેનરો અને બોર્ડ મૂકવા દઇ દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાંઆવી છે. રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શહેરમાં કુલ 62 જેટલા સર્કલ મુખ્ય માર્ગો પર આવેલા છે અને ત્યાંથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોય આ સર્કલ પાછળ થતો ખર્ચ અટકાવવા માટે મનપા દ્વારા પીપીપી યોજના જાહેર કરવામાં આવી હતી અને તેમાં સર્કલ પીપીપી યોજનાથી ભાડે રાખનાર એજન્સી તેમાં પોતાના બે બોર્ડ મૂકી શકશે અને બે બોર્ડ મહાનગરપાલિકાની વિવિધ જાહેરાતના મૂકવાના રહેશે તેવી શરતો નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમુક એજન્સીઓએ પોતાની લાગવગના જોરે માઝા મૂકી છે અને સર્કલ પર પાંચથી સાત બોર્ડ મૂકી જાહેરાતની ધીકતી કમાણી શરૂ કરી દીધાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સર્કલ સંભાળવાની જવાબદારી મેળવનાર એજન્સીએ હરિયાળી, શણગાર અને જાળવણી કરતાં વધુ ભાર વ્યાપારિક ઉપયોગ પર મૂક્યો છે. પરિણામે સર્કલ બ્યુટીફિકેશનનું મોડેલ નહીં, પરંતુ ધંધાનો અડ્ડો બની ગયો છે. જાહેરાતના બોર્ડ મામલે તો નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. મનપાના નિયમ મુજબ શહેરના મહત્ત્વના સર્કલમાં વધુમાં વધુ બે જાહેરાત બોર્ડની જ મંજૂરી છે, છતાં અનેક સર્કલ પર પાંચથી સાત બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડ ભાડે આપી એજન્સી લાખોની આવક ઊભી કરી રહી છે, જ્યારે શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાની બલિ ચઢી રહી છે. આ સમગ્ર ગેરવહીવટ સામે મનપાની ભૂમિકા પણ ગંભીર પ્રશ્નોના ઘેરામાં છે. સર્કલ બનાવવાનો અને જાળવણીનો ખર્ચ ખાનગી એજન્સી ઉઠાવતી હોવાથી મનપા ખર્ચ બચાવી રહી છે. સાથે સાથે જાહેરાતથી થતી આવકના કારણે મનપા જાણે મૌન સંમતિ આપી રહી હોય તેમ નિયમોના ભંગ સામે કોઈ કડક કાર્યવાહી કરતી નથી. નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે.બ્યુટીફિકેશનનો હેતુ શહેરની ઓળખ, નાગરિકોને ખુલ્લી જગ્યા અને સુવ્યવસ્થિત ટ્રાફિક આપવાનો હતો, પરંતુ હાલની સ્થિતિમાં વધતા બોર્ડ, વેપલો અને અસ્થાયી બાંધકામ શહેરની સુંદરતા બગાડી રહ્યા છે અને જાહેર સ્થળોની પવિત્રતા ખોવાઇ રહી છે. પીપીપી યોજના હવે જાહેર હિત કરતાં ખાનગી નફાને પ્રાથમિકતા આપતી વ્યવસ્થા બની ગઈ છે. શહેરના સર્કલ જાહેર સંપત્તિ છે, કોઈ એજન્સીની ખાનગી મિલકત નથી. નિયમોના ભંગ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરી સર્કલને તેના મૂળ હેતુ માટે પાછા લાવવાની જવાબદારી મનપાની છે. નહીંતર બ્યુટીફિકેશનના નામે શહેરની સંપત્તિ વેચાઈ જવાની જવાબદારી પણ મનપાને જ વહન કરવી પડશે. હાલમાં સર્કલના ભાડાની વાર્ષિક રૂ.40 લાખની આવકમહાપાલિકા દ્વારા 62માંથી 31 સર્કલ ભાડે આપી દીધા છે અને બાકીના 11 સર્કલ પીપીપી યોજનાથી ભાડે આપવા કવાયત ચાલી રહી છે ત્યારે આ સર્કલ વિસ્તાર મુજબ રૂ.50 હજારથી રૂ.4.50 લાખ પ્રતિ વર્ષના ભાડાથી આપવામાં આવ્યા હોય મહાનગરપાલિકાને 31 સર્કલમાંથી હાલ વાર્ષિક અંદાજે રૂ.40 લાખની આવક થઇ રહી છે. સર્કલ બનાવવાનો અને નિભાવણીનો ખર્ચ બચતો હોય અને વધારાની આવક થતી હોય મહાપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

અમદાવાદમાં સિંધુભવન રોડ પર બિલ્ડરના ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટ:પટેલ હાઉસમાં 4 લૂંટારૂઓએ બિલ્ડરને છરીના ઘા મારી મૂઢમાર માર્યો, વેપારીને લૂંટ મામલે ઘરઘાટી પર શંકા

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા સિંધુભવન રોડ પર રહેતા બિલ્ડર અને તેમનો પરિવાર બંગલામાં રાતે સૂઈ રહ્યા હતા, ત્યારે તેમના ઘરમાં ચાર બુકાનીધારી લૂંટારુઓ ઘૂસી ગયા હતા. લૂંટારુઓએ બિલ્ડરના ગળે છરી મૂકીને ધમકાવીને લૂંટ ચલાવ્યા બાદ મૂઢ માર માર્યો હતો અને જતી વખતે પોલીસને જાણ ન કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે બિલ્ડરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. એક શખસે છાતી પર બેસીને ગળા પર છરી મૂકી દીધીસિંધુભવન રોડ પર આવેલા પટેલ હાઉસમાં રહેતા નરેશ પટેલ સ્ટેલા બિલ્ડિંગમાં શ્રી અષ્ટ લક્ષ્મી નામની કન્સ્ટ્રક્શન કંપની ધરાવે છે. ગત મોડી રાતે તેમના પત્ની અને દીકરો ઉપરના રૂમ સૂઈ રહ્યા હતા. જ્યારે તેઓ નીચે સૂઈ રહ્યા હતા. રાત્રે 2 વાગ્યા આસપાસ તેઓ સુતા હતા, ત્યારે શરીરને સ્પર્શ થતાં જાગી ગયા હતા. નરેશ પટેલે જોયું તો ચારેક જેટલા બુકાનીધારી શખસો તેમની પાસે ઊભા હતા. ચાર પૈકી એક શખસ તેમની છાતી પર બેસીને ગળા પર છરી મૂકી દીધી હતી. ત્રણ ઘા મારીને કબાટમાં પડેલા એક લાખ લૂંટી લીધાજ્યારે અન્ય બે લોકોએ હાથ પગ પકડી રાખ્યા હતા. ચોથાએ મોઢું દબાવીને અવાજ કરોગે તો ગલા કાટ દેંગે તેમ કહીને તેમને ડરાવ્યા હતા. લૂંટારુઓએ નાણાં અને દાગીના માગતા નરેશ પટેલે હાલ કંઇ ન હોવાનું કહેતા તેમને છરો બતાવીને ડરાવ્યા હતા. બાદમાં લૂંટારુઓએ ત્રણ ઘા મારીને કબાટમાં પડેલા એક લાખ લૂંટી લીધા હતા. જે બાદ લૂંટારુઓ બંગલોના બેઝમેન્ટમાં આવેલા હોમ થિયેટરમાં તેમને લઇ ગયા હતા. જ્યાં નરેશભાઇના ફીંગરપ્રિન્ટથી લોક ન ખૂલતા ચારેય ભેગા મળીને મૂઢમાર માર્યો હતો. લૂંટારૂઓ નરેશ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપીલુંટારૂઓએ દરવાજો ન ખુલતા દરવાજો તોડી નાખ્યો હતો. નરેશભાઇએ બીજા દિવસે નાણાં ટ્રાન્સફર કરવાનું કહેતા લૂંટારૂઓએ કાલે પડીકામાં રૂપિયા મૂકીને ઘરની પાછળ ફેંકી દેજે અમે લઇ જઇશું તેમ કહીને નાસી ગયા હતા. લૂંટારુઓએ જતા જતા પોલીસ કેસ કરોગે તો વાપીસ આકે તુમ કો ઔર પરિવાર કો માર દેંગે. ઔર પકડે ગયે તો જેલ સે છૂટકે આકે તુમ્હે છોડેંગે નહીં તેવી ધમકી આપીને પંદરા મિનિટ તક હિલે તો આકે માર દેંગે તેવી ધમકી આપીને નાસી ગયા હતા. વેપારીને લૂંટ મામલે ઘરઘાટી પર શંકાથોડી વાર સુધી નરેશભાઈ બેસી રહ્યા હતા જે બાદ ઉપરના રૂમમાં જઈને પત્ની અને દીકરાને જગાડીને આ અંગે જાણ કરી હતી. નરેશ પટેલે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. આ મામલે સરખેજ પોલીસે 1.25 લાખની લૂંટ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નરેશ પટેલે લૂંટ મામલે તેમના ઘરમાં કામ કરતા ઘરઘાટી રાહુલ પર પણ શંકા વ્યક્ત કરી છે જેની પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:05 am

ગાંધીનગર સાયબર સેલનો 'મ્યુલ એકાઉન્ટ' પર સપાટો:વધુ બે ગુનામાં લવારપુર, વાવોલ અને સેક્ટર-3ના યુવાનો સામે ફરિયાદ, દેશભરમાંથી મળેલી ફરિયાદોના આધારે પોલીસની લાલ આંખ

સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે વપરાતા ‘મ્યુલ એકાઉન્ટ’ વિરુદ્ધ ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે અભિયાન તેજ કર્યું છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર મળેલા ડેટાના આધારે પોલીસે વધુ બે ગુના દાખલ કરી લવારપુર, વાવોલ અને સેક્ટર-3 ના યુવાનો સહિત ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, વાવોલ ગામના કુબેરનગરમાં રહેતા કેવલ નાગજીભાઈ દેસાઈના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું હતું કે, કેવલે કમિશનની લાલચમાં પોતાનું ખાતું તેના મિત્ર આર્ય નાગજીભાઈ દેસાઈ (રહે. સેક્ટર-3/બી) અને વલસાડના પ્રગ્નેશ વ્યાસને વાપરવા આપ્યું હતું. આ ટોળકીએ ઓનલાઇન છેતરપિંડીના આશરે 96 હજાર રૂપિયા આ ખાતામાં જમા કરાવી રોકડા ઉપાડી લીધા હતા. આ એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી 5 ફરિયાદો નોંધાયેલી છે. એજ રીતે લવારપુરના યુવાનના ખાતામાં 7.86 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. ગઈકાલે પણ પેથાપુર અને ઇન્ફોસિટી પોલીસ મથકમાં મ્યુલ એકાઉન્ટ અંગેના ગુના દાખલ કર્યાગાંધીનગરના સેક્ટર-3 માં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં મોટાપાયે શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરતા તે ખાતું લવારપુર ગામના મૌલિક દશરથભાઈ પ્રજાપતિનું હોવાનું બહાર આવ્યું હતું. મૌલિકે પોતાના મળતિયાઓ સાથે મળીને સાયબર ફ્રોડના આશરે 7 લાખ 86 હજાર પોતાના ખાતામાં મેળવી રોકડમાં સગેવગે કર્યા હતા. આ એકાઉન્ટ વિરુદ્ધ પોર્ટલ પર કુલ 8 ફરિયાદો નોંધાઈ છે.ગાંધીનગર પોલીસે ગઈકાલે પણ પેથાપુર અને ઇન્ફોસિટી પોલીસ મથકમાં મ્યુલ એકાઉન્ટ અંગેના ગુના દાખલ કર્યા હતા. ઇન્ફોસિટી અને પેથાપુરમાં પણ ટેક્નિકલ સર્વેલન્સના આધારે એવા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેઓ સાયબર માફિયાઓને કમિશન પેટે બેંક ખાતા અને કિટ્સ પૂરી પાડતા હતા. ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, કમિશનની લાલચમાં કોઈને પણ પોતાનું બેંક ખાતું વાપરવા આપવું એ ગુનો બને છે. આવનારા દિવસોમાં આવા અનેક મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ વધુ ગુના દાખલ થવાની પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 11:02 pm

ભાવનગરમાં યુવક પર છરીથી હુમલો:શિવાજી સર્કલ પાસે નશામાં ધૂત શખ્સે બેને ઘાયલ કર્યા

ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં એક યુવક પર છરી વડે હુમલો થયો હતો. નશાની હાલતમાં આવેલા આકાશ ઉર્ફે ઘોડો નામના ઈસમે મહેશભાઈ પરસોત્તમભાઈ કંટારીયા અને ગોહિલ મનીષભાઈ પર છરીના ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં બંને યુવકો ઘાયલ થયા હતા. માહિતી અનુસાર, મહેશભાઈ કંટારીયા અને મનીષભાઈ ગોહિલ હાથબ ગામેથી કડિયા કામ માટે ભાવનગર આવ્યા હતા. શિવાજી સર્કલ વિસ્તારમાં મઢુલી પાસે કામ પતાવી તેઓ તેમના મિત્રો સાથે ચા પીવા બેઠા હતા. તે સમયે આકાશ ઉર્ફે ઘોડો નામનો એક ઈસમ સંપૂર્ણ નશાની હાલતમાં ત્યાં આવ્યો હતો. તેણે માથાકૂટ શરૂ કરી અને મહેશભાઈ તથા મનીષભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. બંને ઘાયલ યુવકોને તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:56 pm

બોટાદ પ્રાંત અધિકારીએ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી:'સુપોષિત બોટાદ' અભિયાન હેઠળ બાળકોને માર્ગદર્શન આપ્યું

પ્રાંત અધિકારી આરતીબેન ગોસ્વામીએ 'સુપોષિત બોટાદ' અભિયાન અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. બોટાદ કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ, તેમણે ભાંભણ ગામના આંગણવાડી કેન્દ્ર-૨ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, બાળકોને સુપોષિત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુપોષિત બાળકોના વાલીઓને મળીને બાળકોની ઊંચાઈ, વજન અને પોષણ સ્થિતિ ચકાસીને તેમને યોગ્ય સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાળ શક્તિ મિશ્રણનો ઉપયોગ કરીને બાળકો માટે વિવિધ વાનગીઓ બનાવવાની જાણકારી આપવામાં આવી હતી. ધાત્રી માતાઓને પણ સમતોલ આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.એક બાળકના વજનમાં 500 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો હતો. વાલી સાથેની ચર્ચામાં જાણવા મળ્યું કે બાળકને એક અઠવાડિયાથી શરદી-ઉધરસ હતી. આથી, પ્રાંત અધિકારીએ બાળકને CMTC/C.H.C. (કોમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન સેન્ટર / કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) માં લઈ જવાની સલાહ આપી હતી.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:42 pm

વેરાવળમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચનાર 5 દુકાનદારોની અટકાયત:SOGએ લીલાશાહ નગરમાં 5 પાનના ગલ્લા પર દરોડા પાડી ચેકીંગ કર્યું

ગુજરાતમાં નશીલા પદાર્થોના ઉપયોગ સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ગેરકાયદેસર રીતે વેચાતા ‘ગોગો પેપર’ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ શહેરમાં એકસાથે પાંચ અલગ-અલગ પાનના ગલ્લાઓ પર દરોડા પાડી મોટી માત્રામાં ગોગો પેપર તથા સ્મોકિંગ કોન જપ્ત કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા, ASI દેવદાન કુંભરવાડિયા, વિપુલ ટીટીયા, મહાવીરસિંહ, અનિરુદ્ધસિંહ, કૈલાસ બારડ, રાઇટર ગોવિંદ રાઠોડ, મેરામણભાઈ તેમજ ટીમના અન્ય સ્ટાફ દ્વારા આજરોજ વેરાવળમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પાનના ગલ્લાઓ પરથી ડ્રગ્સના સેવન માટે ઉપયોગમાં લેવાતી ગોગો પેપરની સામગ્રી મળી આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. શહેરના આ વિસ્તારોમાં દરોડાSOG ટીમે લીલાશાહ નગરમાં આવેલ રોનક પાન, હરસિદ્ધિ સોસાયટી – સ્કાય સિટી વિસ્તારમાં શિવમ પાન, વેરાવળ બ્લડ બેંક શેરીમાં ગાયત્રી પાન, બહારકોટ કાનાવાલી બાગ વિસ્તારમાં સ્વાતિ પાન, તથા જલારામ ટોકીઝ પાછળ આવેલ ખુશ્બુ પાન પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન ગોગો સ્મોકિંગ કોન – 124 નંગ, ગોગો રોલિંગ પેપર – 268 નંગ મળી કુલ રૂ. 4,540/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 5 દુકાનદારો સામે ગુનોઆ મામલે ભાવેશ ચેતનભાઈ સેજપાલ (રોનક પાન), ખુશાલભાઈ કિશનચંદ ભગાનાણી (શિવમ પાન), ગોવિંદ ત્રિકમદાસ ગંગવાણી (ગાયત્રી પાન), મોસીન ઈસ્માઈલ મુગલ પટણી (સ્વાતિ પાન), પ્રદીપ શામજીભાઈ અડવાણી (ખુશ્બુ પાન) વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોગો પેપર પર પ્રતિબંધ બાદ કાર્યવાહીઉલ્લેખનીય છે કે ડ્રગ્સ અને ગાંજા જેવી નશીલી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતી ‘ગોગો પેપર’ની સામગ્રી પાન પાર્લરો તેમજ હોમ ડિલિવરી મારફતે સરળતાથી મળી રહી હોવાની ફરિયાદો સામે આવતા રાજ્ય સરકારે તાજેતરમાં ‘ગોગો પેપર’ના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પ્રતિબંધ જાહેર થતા જ પોલીસ દ્વારા શહેર-શહેર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. SOG દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન વેપારીઓને ગોગો પેપર સહિત પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ ન કરવા કડક ચેતવણી આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે નશા સામે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવનારા દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને પ્રતિબંધિત સામગ્રીના વેચાણ સામે કડક પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:41 pm

ગુજરાત શહેરી વિકાસ વર્ષ 2025:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹2800 કરોડના ચેક વિતરિત કર્યા, CITIISમાં ગુજરાત અગ્રણી રાજ્યોમાં સામેલ; અમદાવાદમાં ગૌરવશાળી સમારોહ

અમદાવાદમાં યોજાયેલા શહેરી વિકાસ વર્ષ 2025ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે કુલ ₹2800 કરોડની રકમના ચેક વિતરિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા CITIIS (સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન) કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ પર ફોકસમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહિ, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતીતેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં જ્યારે અર્બનાઈઝેશનને પડકાર ગણવામાં આવતો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતી. આપણી વિરાસતને અનુરૂપ અર્બન ડેવલોપમેન્ટ મોડલ વિકસાવવા માટેની મૂળભૂત માળખાકીય સુવિધા નિર્માણનો મજબૂત પાયો તેમણે નાખ્યો હતો. જો વિઝનરી લિડરશીપ હોય અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે પૈસાની કોઈ કમી ના હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલોપમેન્ટ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આ શહેરી વિકાસ વર્ષથી પૂરું પાડ્યું છે. નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પરથી કુલ 2800 કરોડના ચેક અર્પણ શહેરી વિકાસ વર્ષ 2005ની બે દાયકાની એ સફળતાને પગલે મોર્ડન અર્બન ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનને વધુ ગતિ આપવા રાજ્ય સરકારે સર્વ સ્પર્શી, સર્વ પોષક અને સર્વ સમાવેશી નગરોના વિકાસની નેમ પાર પાડવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે એમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પરથી કુલ 2800 કરોડ રૂપિયાની રકમના ચેકો વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કર્યા હતા. રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ વિકાસ કામો માટે આપ્યામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં આ ચેક અર્પણ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને 40 કરોડ મુજબ કુલ 360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપી હતી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ 308 કરોડ રૂપિયા મળીને સમગ્રતયા 2800 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપ્યા હતા. સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને વિકાસ કામોના આયોજનમાં નાણાંની કોઈ તંગી ન રહે એવું જે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સરકારે કર્યુ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, વધુને વધુ નાણાં લોકોના વિકાસ કામો માટે કેમ વાપરી શકાય તેની ક્ષમતા હવે નગરપાલિકાઓએ હવે વધારવાની છે. તેમણે વિકાસના કામોમાં ગુણવત્તાને અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપવાનું પ્રેરક સૂચન કરતાં ઉમેર્યુ કે, સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે ત્યારે એ માટેના વધુ ઈનિસ્યેટિવ લેવાનું દાયિત્વ નગરપાલિકા-મહાનગરપાલિકાઓએ નિભાવવાનું છે. “અર્નિંગ વેલ અને લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે તૈયારઆપણા 6 શહેરોએ સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિથી રાષ્ટ્રીય સ્તરે સ્થાને મેળવ્યું છે તે લિગસી ને આગળ વધારવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બધા જ શહેરોને લિડ લેવાનો અને વોર્ડ દીઠ કચરાનું 100 ટકા સેગ્રીગેશન કરવાનો તથા નગરપાલિકાઓમાં વીજ બિલની બચત માટે ગ્રીન ક્લિન સોલાર એનર્જીનો ઉપયોગ વધારવાનો ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ 2047ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો રોડમેપ “અર્નિંગ વેલ અને લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે તેમ જણાવતા કહ્યું કે, 2047ના વિકસિત ભારત પહેલાં 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીમાં આપણા શહેરોને દેશમાં ઉતકૃષ્ઠ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક છે. તેમણે સિટિઝન સેન્ટ્રીક ઈ-સર્વીસીસ અને મોબાઈલ ગવર્નન્સનો વ્યાપ વધારીને બધા જ શહેરોમાં ટેક્ષ કલેક્શન, વીજ બિલ સહિતના બિલોના પેમેન્ટ માટે યુ.પી.આઈ.ના ઉપયોગને વેગ મળે તે જોવાનો પણ અનુરોધ મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓને કર્યો હતો. આજે અનેક શહેરોએ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે શહેરી વિકાસ માટે એક જ સ્થળેથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક અર્પણ કરવાના આ કાર્યક્રમ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી પ્રજાની સમસ્યાઓ અને તકલીફોના સમાધાન માટે સતત પ્રયાસરત રહે છે. મહેસૂલ અને શહેરી વિકાસ ક્ષેત્રે સમસ્યાઓનાં ઉકેલ શોધવા મુખ્યમંત્રીશ્રીએ સતત પ્રયાસરત રહીને જન સુખાકારીના અનેકવિધ કાર્યો પૂર્ણ કરાવ્યા છે. એમના જ કાર્યકાળમાં આજે અનેક શહેરો એ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છેનાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ત્રણ દાયકા પહેલાંની સરકારોના સમયમાં નાગરિકોએ માળખાગત સુવિધાઓના અભાવે સતત તકલીફોમાં જીવવું પડતું હતું. પરંતુ, નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શાસનધૂરા સંભાળ્યા બાદ ગુજરાતનાં શહેરો અને જિલ્લાઓ સતત વિકાસપથ પર તેજ ગતિથી આગળ વધ્યાં છે અને આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છે. ધોલેરા અને ગિફ્ટ સિટીનું ઉદાહરણ આપ્યુંતેમણે ઉચ્ચકક્ષાની માળખાગત સુવિધાઓ સાથે નગરોના સતત વિકાસ વિશે વાત કરતાં કહ્યું કે, રાજ્યની 9 નગરપાલિકાઓ આજે મહાનગરપાલિકાઓ બની છે. ધોલેરા અને ગિફ્ટ સિટીનું ઉદાહરણ આપી, સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. સ્વચ્છતા સહિત અન્ય ક્ષેત્રોમાં અને નાગરિક સુવિધાઓ માટે ઉપસ્થિત સૌને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા એકસાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. શહેરી વિકાસમંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના વિકાસ માટે અનેકવિધ આયામો અને યોજનાઓ અમલી બનાવી હતી. જ્યોતિગ્રામ યોજના, શાળા પ્રવેશોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત સહિતની યોજનાઓ અને અભિયાનો ઉપરાંત આદિજાતિ વિકાસ માટે અલાયદું બજેટ તથા 2005માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાનો પાયો નરેન્દ્રભાઈએ નાખ્યો હતો. શહેરી વિકાસ વિભાગનું બજેટ 22 હજાર કરોડથી વધારીને 30 હજાર કરોડ કર્યું એ જ દિશામાં આગળ વધતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગનું બજેટ 22 હજાર કરોડથી વધારીને 30 હજાર કરોડ કર્યું છે. શહેરોમાં રોડ રસ્તા, સેનિટેશન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર સહિતના શહેરી વિકાસના પ્રકલ્પોના નિર્માણ માટે શહેરી વિકાસ વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે તેમ જણાવી, તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના હોદ્દેદારોને તેમણે દરેક વિકાસકામ સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અંતર્ગત આવતા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશાં કટિબદ્ધ છે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે સતત દરકાર લીધીતેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે સતત દરકાર લીધી હતી. એ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પણ શહેરી વિકાસ વિભાગના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને લોકોની સુખાકારી વધારવા માટે અનેકવિધ પ્રકલ્પોના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ અવસરે રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસની ઝાંખી કરાવતી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તમામ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાઆ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો, શહેરીવિકાસ અગ્રસચિવ એમ. થેન્નારસન, કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ શ્રીમતી રેમ્યા મોહન, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં અધિક કમિશનર વીણા પટેલ તેમજ રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:22 pm

વેરાવળમાં એસ.ટી. બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ભાવનગર-વેરાવળ રૂટ પર લાઇન ચેકિંગમાં પર્દાફાશ, ઉના ડેપો સાથે તાર

ગીર સોમનાથ ભાવનગરથી વેરાવળ આવી રહેલી એસ.ટી. બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. GSRTCની લાઇન ચેકિંગ ટીમ દ્વારા વેરાવળ નજીક આવેલા નમસ્તે સર્કલ પાસે નિયમિત ટિકિટ ચેકિંગ દરમિયાન બસમાંથી વિદેશી દારૂ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તો બીજી GSRTC બસમાં દારૂની હેરાફેરીના તાર ઉના એસ.ટી ડેપો સાથે જોડાયા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર–વેરાવળ રૂટ પર દોડતી GJ-18 ZT 0439 નંબરની એક્સપ્રેસ એસ.ટી. બસમાં ચેકિંગ દરમિયાન એક થેલો મળી આવ્યો હતો. તપાસ કરતાં થેલામાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ થેલો બિનવારસી હોવાનું જાણવા મળ્યું છે. GSRTCની લાઇન ચેકિંગ ટીમે સમગ્ર મામલાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરી હતી. બાદમાં ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો વધુ તપાસ અર્થે પ્રભાસ પાટણ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે GSRTCના ડ્રાઇવર ઘેલાભાઈ મૂલુભાઈ વાધ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા એસ.ટી. બસ મારફતે દારૂની હેરાફેરી પાછળ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ GSRTC ની બસ માં વિદેશી દારૂ ની હેરાફેરીના તાર ઉના એસ.ટી બસ ડેપો સાથે જોડાયા હોવાનું આધારભૂત વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જો પોલીસ તટસ્થ તપાસ હાથ ધરે અને આ બસ ના ઉના એસ.ટી.બસ ના CCTVની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરે તો દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. જાહેર પરિવહનના સાધનોનો ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોવાની ઘટનાઓ સામે આવતાં સુરક્ષા અને ચેકિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:14 pm

મોરબીમાં વ્યાજખોરી મામલે બે સામે ફરિયાદ:વેપારી પાસે 88 લાખની પઠાણી ઉઘરાણી કરનાર એકની ધરપકડ

મોરબીમાં એક વેપારી યુવાન પાસેથી વ્યાજખોરો દ્વારા લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ 88 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. આ મામલે વેપારીએ બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોરબીના રાતડીયાની વાડી મેઇન કેનાલ પાસે રહેતા કિશોરભાઈ જીણાભાઈ પરમાર (35) એ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રકાશભાઈ રામજીભાઈ પઢીયાર (રહે. નાના રામપર) અને ભરતભાઈ રબારી (રહે. થોરાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કિશોરભાઈએ જુલાઈ 2024માં પ્રકાશભાઈ પાસેથી શરૂઆતમાં 1 લાખ અને પછી ટુકડે ટુકડે 21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. કિશોરભાઈએ લીધેલા તમામ રૂપિયા વ્યાજ સહિત પરત ચૂકવી દીધા હતા અને તેનું નોટરી લખાણ પણ કરાવ્યું હતું. તેમ છતાં, પ્રકાશભાઈ પઢીયારે એક લાખ રૂપિયા પર દિવસના 800 રૂપિયા લેખે વ્યાજ પેટે ટુકડે ટુકડે 26 લાખ રૂપિયા વસૂલ્યા હતા. આટલું જ નહીં, તેઓ વધુ 78 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા અને રૂપિયા ન આપવા બદલ કિશોરભાઈ તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ, ભરતભાઈ રબારી પાસેથી કિશોરભાઈએ 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના બદલામાં તેમણે 7 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં, ભરતભાઈ રબારી વધુ 10 લાખ રૂપિયા વ્યાજ સહિતની માંગણી કરી રહ્યા હતા અને રૂપિયા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બંને આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા કિશોરભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં આરોપી લાલજી ઉર્ફે ભરતભાઈ અણદાભાઈ રાઠોડ (ઉં.વ. 30, રહે. પ્રાથમિક શાળા પાસે, થોરાળા) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:09 pm

સુરત પોલીસે 'નો પાર્કિંગ'માંથી ગાડી ઉઠાવતા જ યુવક-યુવતીનો હંગામો, VIDEO:યુવકે મહિલાકર્મીને ધક્કો માર્યો, કહ્યું- હું અધિકારી હોઉં તો એકપણ લુખ્ખો ન હોય; અટકાયત થતાં જ માફી માગી

સુરત શહેરના વરાછા-સરથાણા વિસ્તારમાં ટ્રાફિક નિયમોના પાલન અને કામગીરી દરમિયાન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. તાજેતરમાં યોગીચોક વિસ્તારમાં 'નો પાર્કિંગ' માંથી ગાડી ઉઠાવવા બાબતે એક યુવક અને યુવતીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે મહિલા પોલીસને યુવકે ધક્કો પણ માર્યો હતો. આ સાથે જ યુવક કહી રહ્યો હતો કે, જો હું અધિકારી હોઉં તો સુરતમાં એકપણ લુખ્ખો ન હોય. આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ કરનાર યુવક અને યુવતીએ માફી માગી હતી. વાહન ઉઠાવતા જ યુવક અને યુવતીનું પોલીસ સાથે ઘર્ષણસુરતના યોગીચોક વિસ્તારમાં યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાર્ક માર્કેટ નજીક ટ્રાફિક પોલીસ દ્વારા 'નો પાર્કિંગ'માં પડેલા વાહનો ઉઠાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક ગાડી ટોઈંગ કરવામાં આવતા ત્યાં હાજર યુવક અને યુવતી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. મામલો એટલો બિચક્યો હતો કે યુવતી ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે જ ઉભી રહી ગઈ હતી અને કામગીરી અટકાવી હોબાળો કર્યો હતો. યુવકે મહિલા પોલીસને ધક્કો માર્યો અને વિવાદિત નિવેદનઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે મહિલા પોલીસકર્મીઓ અને પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરની હાજરીમાં જ યુવકે મહિલા પોલીસકર્મીને ધક્કો માર્યો હતો. યુવકે સિસ્ટમ પ્રત્યે રોષ ઠાલવતા વિવાદિત નિવેદન આપ્યું હતું કે, જો હું અધિકારી હોત તો સુરતમાં એક પણ લુખ્ખો ન હોત, હું દેશ માટે પગાર પણ ન લઉં. મારે આ સડી ગયેલી સિસ્ટમમાં નથી આવવું. પોલીસે યુવક-યુવતી સામે કડક કાર્યવાહી કરતા માફી માગીસરથાણા પોલીસ દ્વારા અંતે બંનેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા યુવક અને યુવતીના તેવર નરમ પડ્યા હતા. જેથી બંનેએ પોતાની ભૂલ સ્વીકારી પોલીસની ફરજમાં રુકાવટ ન કરવા માટેનું લેખિત માફીનામું આપ્યું હતું. સાથે જ ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની બાહેંધરી આપી હતી. યુવક અને યુવતીની જાહેર જનતાને અપીલ પોલીસ સ્ટેશનમાં માફી માગ્યા બાદ યુવક અને યુવતીએ જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું જોઈએ નહીં. અન્ય લોકોએ ઉશ્કેરતા આવેશમાં આવીને કાયદો હાથમાં લેવાથી મુશ્કેલી વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:04 pm

મોરબીમાં પિતાના ઠપકાથી સગીરે ઝેરી દવા પીધી:બગથળા ગામે સારવાર દરમિયાન મોત, પોલીસે તપાસ શરૂ કરી

મોરબીના બગથળા ગામે પિતાના ઠપકાથી નારાજ થઈને એક સગીરે ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબી તાલુકાના બગથળા ગામે રમેશભાઈ મેરજાની વાડીએ મજૂરી કામ કરતા હરસિંગભાઈ ભુરીયાના 17 વર્ષીય પુત્રએ આ પગલું ભર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો, જે તેને પસંદ ન આવતા તેણે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ તેને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:03 pm

બોટાદમાં નશા વિરોધી ડ્રાઈવમાં પ્રતિબંધિત ગોગો પેપર જપ્ત:SOGએ 25 દુકાનોમાં ચેકિંગ કર્યું, એક દુકાનદાર સામે ગુનો નોંધ્યો

બોટાદ જિલ્લામાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. SOG ટીમે ગોગો પેપર અને સ્મોકિંગ કોન સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરી, જેમાં ગોગો પેપરના ૬ રોલ જપ્ત કરવામાં આવ્યા હતા અને એક દુકાન માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બોટાદ SOG PI એમ.જી. જાડેજા અને તેમની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 20 થી 25 પાન પાર્લર અને કરિયાણાની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર અને સ્મોકિંગ કોનના વેચાણને રોકવાનો હતો. તપાસ દરમિયાન, પાળીયાદ રોડ પર આવેલા ચામુંડા પાન કોર્નર માંથી ગોગો પેપરના કુલ 6 રોલ મળી આવ્યા હતા. પોલીસે આ રોલ જપ્ત કર્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પાન કોર્નરના માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી બોટાદ જિલ્લામાં નશાના દૂષણને ડામવા માટેના પોલીસના પ્રયાસોનો એક ભાગ છે. બોટાદના પોલીસ અધિક્ષક (SP) ધર્મેન્દ્ર શર્માએ SOG પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઈવ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:56 pm

ગુજરાતમાં SIR-2025 ઝુંબેશ પૂર્ણ:19 ડિસેમ્બરે મુસદ્દા મતદારયાદી જાહેર થશે, 100% ગણતરી કામગીરી સંપન્ન

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા વધારી તા.14 ડિસેમ્બર કરવામાં આવી હતી. જેથી, ફોર્મ પરત આવવા માટે ત્રણ દિવસનો વધારાનો સમય મળ્યો હતો ત્યારે રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, તેથી માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી રાજ્યમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 4.34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે. આ તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરવામાં આવ્યું છે. 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી. ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 33 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જેથી સરવાળે રાજ્યની કુલ 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/BLA-BLO-Meeting.aspx પર પ્રકાશિત કરવામાં આવી હતી. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી. 3 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18,07,277 અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40,26,010 વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે. SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી જોવા મળી આમ, આ મતદારયાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી જોવા મળી છે. મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ તા.19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે.જે ભારતના નાગરિક છે અને SIR પછી કોઇ કારણસર ડ્રાફટ રોલમાં નામ નથી સામેલ થયું તો એવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નં.6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:52 pm

રાજકોટની SNSD સ્કૂલને રૂ.1 લાખનો દંડ:સ્થળ ફેરફારની મંજૂરી વિના અઢી વર્ષથી ધમધમતી સ્કૂલ હવે DEO કચેરીના ધ્યાને આવી !

રાજકોટમાં શિક્ષણના નામે લાલિયાવાડી ચાલતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી SNSD સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરી શાળા હરીપર ગામે સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી પરંતુ અઢી વર્ષ પહેલાનો આ સ્થળ ફેરફાર છેક બે વર્ષે એટલે કે આજથી છ મહિના પહેલા ધ્યાને આવ્યો હતો. જે બાદ નોટિસ અને થયેલી તપાસમાં સ્કૂલની બેદરકારી હોવાનું ખુલતા રૂ.1 લાખનો દંડ ફટ કરવામાં આવ્યો છે અને સ્કૂલ બંધ કરવા માટે વડી કચેરીએ ભલામણ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાજેતરમાં નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષીત પટેલે જણાવ્યુ હતુ કે, કાલાવાડ રોડ પર છેલ્લા 14 વર્ષથી ભાડાના બિલ્ડીંગમાં SNSD સ્કૂલ કાર્યરત હતી. 6 મહિના પહેલા જ્યારે આ બાબતે અને આવી ત્યારે ત્યાં 30 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જોકે હવે ત્યાં 8 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે જેમને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સંચાલકો દ્વારા અઢી વર્ષ પહેલા અત્રેની કચેરીએથી કોઈ પણ પ્રકારની સ્થળ ફેરફાર કરવા અંગેની મંજુરી લીધા વગર જ શાળાને હરિપર ગામે સ્થળાંતરીત કરવામાં આવી હતી. જોકે આ બાબત 6 મહિના પહેલા ધ્યાને આવી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે એક તપાસ કમિટીની રચના કર્યા થઈ. જ્યાં SNSD શાળાના સંચાલકો પાસે કોઈ પણ પ્રકારની સ્થળ ફેરફાર હોવાના કાગળીયા મળી ન આવ્યા હોવાનો રિપોર્ટ કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી હવે DEO કચેરી દ્વારા SNSD સ્કૂલના સંચાલકોને રૂ.1 લાખ સુધીનો દંડ અને આ શાળા બંધ કરવા અંગે ગાધીનગર શિક્ષણ વિભાગમાં ભલામણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:48 pm

વડોદરા ટ્રાફિક પોલીસની વર્ષ 2025ની કામગીરી:જનજાગૃતિ અને ટેક્નોલોજીના ઉપયોગથી અકસ્માતોમાં ઘટાડો, અવાજનું પ્રદૂષણ કરતા સાઇલેન્સર પર બિલ્ડોઝર ફેરવાયું

વડોદરા શહેર પોલીસ કમિશ્નરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાએ વર્ષ 2025 દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ કરવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાપક કામગીરી હાથ ધરી છે. આ કામગીરીના પરિણામે શહેરમાં માર્ગ અકસ્માતોના આંકડામાં 2024ની તુલનાએ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 75 હજાર નાગરિકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજાવાયુંટ્રાફિક શાખા દ્વારા શાળા-કોલેજો, કંપનીઓ, ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ જાહેર સ્થળોએ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા, નાટક, નુક્કડ નાટક, રેલી, બાળ મેળા અને સડક સંવેદના જેવા મોટા કાર્યક્રમો દ્વારા કુલ 25 જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં આશરે 75,000થી વધુ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત વાહનચલન અંગે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શહેરમાં અનધિકૃત મીડિયન કટના સર્વે પછી 63 જગ્યાએ તેને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સારી બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરમાં ફેઝ-2માં 2614 સીસીટીવી લગાવવાનું કામ શરૂવડોદરા ટ્રાફિક વિભાગે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ટ્રાફિક નિયંત્રણ અને વાયોલેશન પર અંકુશ મેળવ્યો છે. જેમાં સ્માર્ટ સિટી અને વિશ્વાસ ફેઝ-2 હેઠળ કુલ 2614 સીસીટીવી કેમેરા લગાવવાનું કાર્ય પ્રગતિમાં છે. ITMS સિસ્ટમ દ્વારા ટ્રાફિક નિયમભંગ કરનારને ઓટોમેટિક ઈ-ચલણ જારી કરવામાં આવે છે. સાથે ONOC હેઠળ VOC અને E-Challan એપ્લિકેશન દ્વારા ઓન-રોડ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ઈ-ચલણ અને મેમો જારી કરાય છે. 676 બોડીવોર્ન કેમેરાથી ઘટનાઓનું લાઇવ રેકોર્ડિંગઆ સાથે 43 પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જંકશનો પર ટ્રાફિક નિયમો અંગે સતત જાહેરનામા કરવામાં આવે છે. સાથે 7 ડ્રોન કેમેરા દ્વારા બ્લેક સ્પોટ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સર્વેલન્સ રાખવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા 676 બોડીવોર્ન કેમેરા (જેમાંથી 73 કંટ્રોલ રૂમ સાથે લાઇવ ઇન્ટિગ્રેટેડ) દ્વારા ફીલ્ડ અધિકારીઓની ઘટનાઓનું લાઇવ રેકોર્ડિંગ થાય છે. ઈ-ચલણ હવે ઘરે બેઠાં UPI એપ્સ (ગૂગલ પે, ફોન પે, પેટીએમ, SBI યોનો, ભીમ) દ્વારા માત્ર થોડી ક્લિકમાં ભરી શકાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા 5383 વાહનોને ડીટેઇન કરાયાઆ સાથે સ્વદેશી ‘મેપલ્સ માય એપ’ સાથે MOU હેઠળ રોડ ક્લોઝર, ડાયવર્ઝન, જામ જેવી માહિતી રીઅલ-ટાઇમ અપડેટ કરી નાગરિકોને અગાઉથી જાણ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસે બુલેટ બાઇકના ઘોંઘાટીયા સાયલન્સર સામે ખાસ ડ્રાઇવ ચલાવી 2025માં 506 વાહનોના સાયલન્સર કોર્ટના આદેશ મુજબ નાશ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ દરમિયાન 2,55,672 ઈ ચલણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે સાથે જ 5383 વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં 165 જેટલા ફેટલ અકસ્માત સર્જાયા હતા જે વર્ષ 2025માં 160 થયા છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:42 pm

અમદાવાદમાં 21 ડિસેમ્બરે 'શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ':બ્રહ્માકુમારીઝ ગુજરાતના 'હીરક જયંતી મહોત્સવ' નિમિત્તે આયોજન, વૈશ્વિક શાંતિ માટે 60,000થી વધુ રાજયોગી બ્રહ્માકુમાર ભાઈ-બહેનો કરશે સામૂહિક મેડિટેશન

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ગુજરાત ઝોનની ઈશ્વરીય સેવાઓની 60 વર્ષની સફળ યાત્રા નિમિતે 'હીરક જયંતિ'ના ઉપ્લક્ષમાં તારીખ 21 ડિસેમ્બર, 2025 રવિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે ભવ્યાતિભવ્ય શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયે દરેક વ્યક્તિના જીવનમાં શાંતિની પુકાર છે અને આજે માનવ મન શાંતિ ઈચ્છે છે, ત્યારે મૂલ્યોથી મૂલ્યવાન જીવન બનાવવાના એક સુંદર અભિગમ સાથે શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ યોજાઇ રહ્યો છે, તેમ ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજ્યોગીની ભારતીદીદીએ જણાવ્યું છે. વિશ્વ યોગ દિવસે આયોજિત આ સમારોહ બ્રહ્માકુમારીઝ મુખ્યાલય માઉન્ટ આબુના સહ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની જયંતીદીદીની અધ્યક્ષતામાં યોજાશે. સમારોહનું મુખ્ય મહેમાન પદ ડૉ. નીરજા ગુપ્તા, કુલપતિ ગુજરાત યુનિવર્સિટી તથા અતિથિ વિશેષ પદ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર ભ્રાતા જી.એસ.મલિક શોભાવશે.'હીરક જયંતી સમારોહ'ના મુખ્ય આકર્ષણો 1. વિશ્વ ધ્યાન દિવસે વૈશ્વિક શાંતિ માટે 600થી વધુ શ્વેત વસ્ત્રધારી રાજયોગી બ્રહ્માકુમારી ભાઈ બહેનો શાંતિદૂત બની, શાંતિના એક જ લક્ષ્ય પર, એક સાથે, એક સ્થાને, આબેહૂબ રંગોના પ્રકાશમય દિવ્ય વાતાવરણમાં સામૂહિક મેડિટેશન કરશે.2. સાત વિવિધ મૂલ્યો આધારિત સપ્તરંગી થીમ સાથે ગીત, સંગીત, કલા અને સંસ્કૃતિના અનોખા સંગમ સાથે 100 થી વધુ કલાકારો આધ્યાત્મિક કલાકૃતિઓ રજૂ થશે. 3. 60 તપસ્વી રાજ્યોગીની બ્રહ્માકુમારી બહેનો પવિત્રતાના સૂચક કમળ આસન પર બેસીને ધ્યાન કરશે.4. પ્રતિષ્ઠિત મહાનુભાવોના શુભેચ્છા વિડિઓ સંદેશ તથા બ્રહ્માકુમારીઝ ગુજરાતની ઈશ્વરીય સેવાઓની ઝલક પણ રજૂ કરવામાં રહેશે. આપ આપના સ્થાને રહી જીવંત પ્રસારણ નિહાળતા, મનથી આ સમૂહ મેડિટેશનમાં જોડાઈ શાંતિની અંજલિ મેળવી શકો છો.ઘર, પરિવાર, સમાજ, દેશ અને વિશ્વ શાંતિ માટે સહભાગી બનવા આપનું સહૃદય આહવાન કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:39 pm

હીરા વેપારી સાથે 40 લાખની ઠગાઈ કેસમાં દલાલ ઝડપાયો:થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી 30 આરોપીઓને પાસા, તમંચા સાથે ટેમ્પો ચાલક ઝડપાયો

આગામી નાતાલ અને 'થર્ટી ફર્સ્ટ'ની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસ દિવસમાં સુરત પોલીસે આર્થિક ગુનાખોરીથી લઈને ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વો સામે લાલ આંખ કરી છે. હીરા વેપારી સાથે 40 લાખની ઠગાઈ કેસમાં દલાલ ઝડપાયોસુરતના હીરા ઉદ્યોગને આર્થિક નુકસાન પહોંચાડતા તત્વો સામે ઈકો સેલે કડક કાર્યવાહી કરી છે. મહિધરપુરાના હીરા વેપારી કલ્પેશભાઈ ચોવટિયા સાથે થયેલી રૂ. 40.39 લાખની ઠગાઈના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસની વિગત મુજબ, મુંબઈની 'પારસમણી પલ્સ એન્ડ જ્વેલર્સ'ના માલિક મુકેશ સોનીએ વેપારી પાસેથી વિશ્વાસમાં લઈ હીરા મેળવ્યા હતા, પરંતુ તેનું પેમેન્ટ ચૂકવ્યું નહોતું. આ કેસમાં 10 દિવસ પહેલા મુખ્ય આરોપી મુકેશ સોનીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પોલીસની ઊંડી તપાસમાં બહાર આવ્યું કે આ ઠગાઈમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવનાર દલાલ પણ એટલો જ જવાબદાર છે. ઈકો સેલના ઇન્સ્પેક્ટર જાડેજાની ટીમે બાતમીના આધારે ઉત્રાણ વિસ્તારના શિવમ પેલેસમાં રહેતા 49 વર્ષીય દલાલ કિરીટ દુર્લભભાઈ ફિંડોળીયાને દબોચી લીધો છે. આ ધરપકડથી હીરા બજારના અન્ય ઠગ તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. તહેવારો પહેલા 'પાસા' હેઠળ 30 આરોપીઓ જેલ ભેગાશહેરમાં શાંતિ જળવાય અને નાગરિકો નિર્ભય બનીને તહેવારો ઉજવી શકે તે માટે પીસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા છેલ્લા 10 દિવસમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ 30 આરોપીઓ વિરુદ્ધ પાસા (PASA) હેઠળ હુકમ કરવામાં આવ્યા છે.આ કાર્યવાહીમાં માત્ર હીરાની છેતરપિંડી જ નહીં, પરંતુ સાયબર ફ્રોડ, સગીરાઓ પર બળાત્કાર, અપહરણ અને છેડતી જેવા જઘન્ય અપરાધો કરનારાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ 30 આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલ, ભુજ મધ્યસ્થ જેલ અને રાજકોટ જેલ જેવા અલગ-અલગ સ્થળોએ ધકેલી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સાયબર ઠગ મોહમદ ઇમરાન અને હીરા વેપારીઓ સાથે ઠગાઈ કરનાર કાર્તિક શાહનો સમાવેશ થાય છે. મહિલાઓની સુરક્ષા અને સાયબર સુરક્ષા માટે પોલીસનું આ પગલું ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ભેસ્તાન જીઆવ રોડ પરથી તમંચા સાથે ટેમ્પો ચાલક ઝડપાયોબીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન સ્ક્વોડ પણ સતર્ક બની છે. ભેસ્તાન જીઆવ રોડ પરથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પાંડેસરામાં રહેતા ટેમ્પો ચાલક જીતેન્દ્રકુમાર વર્માની ધરપકડ કરી છે. તેની પાસેથી રૂ. 5000ની કિંમતનો એક દેશી તમંચો મળી આવ્યો છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તે કોઈ ગુનાહિત ઈરાદાથી નહીં પણ માત્ર 'મોજ-શોખ' માટે વતનથી આ ગેરકાયદે હથિયાર ખરીદી લાવ્યો હતો. જોકે, પોલીસનું માનવું છે કે આવા હથિયારો ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે, તેથી આર્મ્સ એક્ટ હેઠળ તેની સામે ગુનો નોંધી સખત કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:35 pm

સાબરકાંઠામાં નિકુભા ગેંગના ચાર સામે ગુજસીટોક દાખલ:ખનીજચોરી રોકતા સરકારી કર્મચારીઓ પર હુમલા બદલ કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લામાં ખનીજચોરી રોકવા ગયેલા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર સભ્યો સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા એલસીબીએ બુધવારે આ કાર્યવાહી કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. એલસીબીના સૂત્રો અનુસાર, પ્રાંતિજ તાલુકાના નવાપુરા (સિતવાડા) ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જસવંતસિંહ રાઠોડ, ભવાનસિંહ અભેસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ અને રણજીતસિંહ રતનસિંહ રાઠોડ આ ગેંગના સભ્યો છે. આ શખ્સો સાબરમતી નદીમાંથી થતી ખનીજચોરી અટકાવવા આવતા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સાથે અવારનવાર ઝઘડો કરી મારામારી કરતા હતા. આ ગેંગ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં મારામારી અને ખુનની કોશિશ સહિત કુલ 15 ગુના નોંધાઈ ચૂક્યા છે. જિલ્લા પોલીસવડાએ ખનીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. ગુજસીટોક 2015 હેઠળ ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરવામાં આવતા, જિલ્લામાં તંત્રની આંખમાં ધૂળ નાખીને ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:35 pm

વડોદરામાં દબાણો દૂર કરાતા ધારાસભ્ય અને કોંગ્રેસ કાઉન્સિલરના પતિ આમને-સામને:આવાસો‌ ફાળવ્યા વગર દબાણો દૂર કરાયાનો આક્ષેપ, MLAએ કહ્યું- ચાર દિવસ પહેલા આવાસો ફાળવ્યા હતા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ગોરવા મધુનગર ચાર રસ્તા પાસે આવેલા FP 108 નંબરના પ્લોટ ઉપરના ગેરકાયદે કાચા-પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીને પગલે સયાજીગંજ વિસ્તારના ભાજપાના ધારાસભ્ય અને સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરના પતિ આમને-સામને આવી ગયા હતા. કાઉન્સિલરના પતિ અને દબાણકારોને આક્ષેપ કર્યો હતો કે, આવાસો‌ ફાળવ્યા વગર દબાણો દૂર કરવામા આવ્યા છે. એક તબક્કે દબાણ શાખાની ટીમ અને દબાણકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. મકાન ઉપર બુલડોઝર ફરતા એક મહિલા રડી પડી હતી. પ્લોટ ઉપર 25 ઝુપડા સહિતના કાચા-પાકા મકાનોશહેરના ગોરવા મધુનગર ચાર રસ્તા પાસે FP 108 નંબરનો સરકારી પ્લોટ આવેલો છે. આ સરકારી પ્લોટ ઉપર વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવનાર છે. ત્યારે આ પ્લોટ ઉપર 25 જેટલા ઝુપડા સહિતના કાચા પાકા મકાનો હતા. આ દબાણો દૂર કરવા માટે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈદબાણ શાખાની ટીમ સ્થળ ઉપર પહોંચતાની સાથે જ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડીયા અને સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત અને તેમના પતિ નરેન્દ્ર રાવત પણ સ્થળ ઉપર દોડી ગયા હતા અને દબાણો ન તોડવા માટે રજૂઆત કરી હતી. પરંતુ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આ દબાણો દૂર કરી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મકાન માલિકોને ચાર દિવસ પહેલા આવાસો ફાળવ્યા હતાધારાસભ્ય કેયુર રોકડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ગોરવા મધુનગર ચાર રસ્તા પાસેના વાણિજ્ય પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી રહી હતી અને આ પ્લોટ ઉપર વિસ્તારના લોકો માટે ફાયર સ્ટેશન બનાવવા માટેની પણ રજૂઆત હતી. જેને લઇને આજે દબાણ શાખાની ટીમ દ્વારા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્લોટ ઉપરના મકાન માલિકોને ચાર દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા આવાસો પણ ફાળવી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર અને તેમના પતિ ગરીબોના મસિહા બનીને આ કામગીરી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્લોટ ઉપર કોંગ્રેસના સમયમાં જ દબાણો થયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. આવાસ ફાળવ્યા નથી અને મકાનો દૂર કરી દેવાયાતો બીજી બાજુ ધારાસભ્યના આક્ષેપ સામે કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અમીબેન રાવતના પતિ નરેન્દ્ર રાવતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નડતરરૂપ દબાણો દૂર થવા જોઇએ. FP 108 નંબરનો પ્લોટ વાણીજ્ય હેતુ માટેનો છે. આ પ્લોટ ઉપર કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓ હતાં. આ પ્લોટ ઉપર રહેતા લોકોએ પહેલાં આવાસોની ચાવી આપો બીજા દિવસે મકાનો ખાલી કરી દેવાની બાંહેધરી આપી હતી. ચાર દિવસ પહેલા આવાસોના ડ્રો થયા છે. હજુ આવાસ ફાળવવામાં આવ્યા નથી. આમ છતાં તેઓના મકાનો દૂર કરી દેવામાં આવ્યા છે. કાઉન્સિલરે આક્ષેપ કરતો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યોગોરવા મધુનગર ચાર રસ્તા પાસેના વાણિજ્ય પ્લોટ ઉપરના દબાણો દૂર કરવા બાબતે કોર્પોરેશન દ્વારા જે રીતે ઉતાવળ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતો પત્ર કાઉન્સિલર અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, આવાસોની ફાળવણી કરતા પહેલાં ગરીબોના મકાનો દૂર કરવામાં આવ્યા છે. દબાણ શાખાના અધિકારીઓ ભાજપાના ઇશારે કામ કરી રહ્યા છે. જો દબાણો જ દૂર કરવા હોય તો વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો સહિત શહેરમાં અનેક ગેરકાયદેસરના દબાણો છે તે દૂર કરો. ગરીબોના દબાણો દૂર કરી હેરાન ન કરો.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:30 pm

સરસ્વતીના વંડુમાં ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું:ભીષણ આગ લાગતા સ્થાનિકોમાં દોડધમ મચી, પાટણથી ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા વડું ગામે એક ભંગારના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે, ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પાટણથી ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે રવાના થઈ હતી. સરસ્વતી તાલુકાના વડું ગામની સીમમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાં રહેલો ભંગારનો જથ્થો બળીને ખાખ થયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. અમે આને અપડેટ કરી રહ્યા છીએ..

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:28 pm

ગોંડલ રોડ પર અકસ્માત:માતા સાથે રસ્‍તો ઓળંગતી બાળાને ટુવ્‍હીલર ચાલક ઉલાળી નાસી ગયો નંબર પ્લેટ ઉપરથી એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

-ડિવીઝન પોલીસે લોહાનગર મફતીયાપરા ગુરૂકુળ સામે રહેતાં જયશ્રીબેન ભોજાભાઇ વઢીયારા (ઉ.વ.39)ની ફરિયાદ પરથી એક્‍સેસ ટુવ્‍હીલર નં. જીજે.03.એમજે.7916ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયશ્રીબેનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે શાકભાજી વેંચી પરિવારને મદદરૂપ થાય છે. ગત તા.02.12.2025ના રોજ તેની 16 વર્ષની દિકરી ગોંડલ રોડ પૂલ ઉતરતાં મક્કમ ચોક તરફ જતાં રસ્‍તા પર રંગોલી કોમ્‍પલેક્ષ પાસેના રસ્‍તા પર ડિવાઇડર પાસે રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે એક્‍સેસના ચાલકે તેની દિકરીને ઠોકરે ચડાવી દીધી હતી. અકસ્‍માત સર્જી તે ભાગી ગયો હતો પરંતુ તેની નંબર પ્‍લેટ નીકળીને જયશ્રીબેનની સાડીમાં ફસાઇ ગઇ હતી. અકસ્માતમાં દીકરીને ડાબા પગે ગોઠણની ઘુંટી સુધીના ભાગે ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે સરકારી હોસ્‍પિટલમાં લઇ જવાઇ હતી. અહિ ડોક્‍ટરે તેને પગમાં ફ્રેકચર થઇ ગયાનું અને ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્‍યું હતું. બાદ નંદનીનું ડોક્‍ટરે ઓપરેશન કરી પગમાં સળીયો બેસાડયો હતો. હાલ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત ફિરોઝભાઈ મુંગરભાઈ સોરા (ઉં.વ.46) એ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે પરિવારને જાણ થતા 108માં જાણ કરાઈ હતી જે બાદ 108ના ઇએમટીએ ફિરોઝભાઈને તપાસી મૃત જાહેર કર્યાં હતા અને બી.ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ફિરોઝભાઈ 8 ભાઈ નાના હતા અને તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. તેઓ પોતે મજૂરી કામ કરતા હતા અને માનસિક બીમારી અને આર્થિક ભીંસથી આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત રાજદીપ પ્રિતેશભાઈ સોલંકી (ઉં.વ.16) ગઈ તા.11.12.2025ના રોજ મોટર સાયકલ લઈને કામ કરવા જતો હતો ત્યારે રેલનગરના નાલા પાસે બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પોતે શ્રમિક કામ કરતો અને તેમના પિતાનું સાત વર્ષ પહેલા અવસાન થયું હતું જે બાદ માતાએ અન્ય લગ્ન કરી લેતા મૃતક પોતાના ફુવા સાથે રહેતો હતો પોતે બે બેનનો એકનો એક ભાઈ હતો જેના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:27 pm

સોલા અને શીલજના પ્લોટ વેચાયા:હેબતપુર-વસ્ત્રાલ સહિતના 4 પ્લોટના વેચાણથી 441 કરોડની AMCને આવક થશે, રહેણાંક અને કોમર્શિયલ બંને પ્લોટ વેચાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે. તાજેતરમાં જ 13 જેટલા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા હતા. શીલજ, સોલા, હેબતપુર અને વસ્ત્રાલમાં પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 441.4 કરોડ રૂપિયાની આવક થશે. શીલજના રહેણાક માટેના પ્લોટનો ભાવ સૌથી વધુ ભાવ મળ્યો છે. આ તમામ પ્લોટને ખરીદનાર ડેવલોપરને સોંપવા માટેની મંજૂરીની દરખાસ્ત આવતીકાલે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. વસ્ત્રાલના પ્લોટનો 51.92 કરોડ રૂપિયાનો ભાવ મળ્યોશહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 13 જેટલા પ્લોટ જેમાં સિંધુભવન રોડ, એસજી હાઇવે, શીલજ, ચાંદખેડા સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પ્લોટ જાહેર હરાજીથી વેચાણમાં મૂકવામાં આવ્યા હતા. સોલા હેબતપુર ટી.પી. 41માં આવેલા ફાઇનલ પ્લોટ 171નો 2.81 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટર લેખે 3974 ચોરસ મીટરના 111.65 કરોડમાં વેચાયો હતો. જ્યારે અન્ય પ્લોટનો 2.86 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટર લેખે 3819 ચોરસ મીટરના 109.22 કરોડ રૂપિયાના ભાવ આવ્યો છે. શીલજની ટીપી 216ના ફાઇનલ પ્લોટ 93ની 1.73 લાખ પ્રતિ ચોરસ મીટરની બોલી લાગી હતી. જે 9765 ચોરસ મીટરના 168.93 કરોડની આવક થઈ છે. જ્યારે વસ્ત્રાલના પ્લોટનો 51.92 કરોડ રૂપિયાનો ભાવ મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:17 pm

ગઠિયાએ બેંક મેનેજર બની વૃદ્ધ સાથે ઠગાઈ:ઇફ્કોના નિવૃત્ત કર્મચારીને વોટ્સએપમાં RTO ચલણની ફાઈલ મોકલી બેંક ખાતામાંથી 19 લાખ ઉપાડી લીધા

ગાંધીનગરના શેરથા વિસ્તારમાં રહેતા અને ઈફકો કંપનીમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ આરટીઓ ચલણ ભરવાના બહાને વોટ્સએપમાં લિંક મોકલી મોબાઈલ હેક કરી લીધો હતો. ત્યાર બાદ બેંક મેનેજરની નકલી ઓળખ આપી વૃદ્ધના ખાતામાંથી રૂ. 18.72 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે પગલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વોટ્સએપમાં આરટીઓ ચલણની APK ફાઈલ મોકલી હતીગાંધીનગરના શેરથામાં રહેતા ઈફકોના નિવૃત્ત કર્મચારી સોમાભાઈ પ્રજાપતિ સાથે બનેલી સાયબર છેતરપિંડીની ઘટનાએ સ્માર્ટફોન વાપરતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ડિજિટલ યુગમાં ગઠિયાઓએ મોકલેલી એક લિંક પદના ક્લિકના કારણે વૃદ્ધના પરસેવાની કમાણીના રૂ. 18.72 લાખ ગણતરીની મિનિટોમાં સાફ થઈ ગયા છે. શેરથાના કસ્તુરીનગરમાં રહેતા સોમાભાઈ પ્રજાપતિના વોટ્સએપ પર ગત 17 નવેમ્બરના રોજ એક અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણની APK ફાઈલ આવી હતી. ઠગે ઈન્ડિયન ઓવરસીઝના બેંક મેનેજર તરીકે ઓળખ આપી હતીસોમાભાઈએ અજાણતામાં આ ફાઈલ ઓપન કરતાની સાથે જ તેમનો મોબાઈલ હેકર્સના કબજામાં આવી ગયો હતો. બાદમાં ફાઈલ ઓપન કર્યાના થોડા કલાકો બાદ જ સોમાભાઈને એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતાની ઓળખ ઈન્ડિયન ઓવરસીઝ બેંકના મેનેજર 'મિશ્રા' તરીકે આપી હતી. સંજોગવશાત્ સોમાભાઈની બેંક શાખાના ખરા મેનેજરનું નામ પણ મિશ્રા હોવાથી તેમને જરા પણ શંકા ગઈ નહોતી. ગઠિયાએ કેવાયસી અપડેટ કરવાના બહાને સોમાભાઈ પાસેથી ડેબિટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યોજોકે તેમના પુત્રએ ઓટીપી આપવાની મનાઈ કરી હતી. પરંતુ મોબાઈલ અગાઉથી જ હેક હોવાને કારણે ગઠિયાઓએ ઓટીપી વગર જ ટુકડે-ટુકડે 18.72 લાખ રૂપિયા અન્ય ખાતાઓમાં સગેવગે કરી દીધા હતા. આ સિવાય તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ સગા-સંબંધીઓને પણ APK ફાઇલની આરટીઓ લિંક વોટ્સએપ પર આપમેળે ફોરવર્ડ થવા લાગી હતી. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને બેંક ખાતાઓના ટ્રાન્ઝેક્શન અને જે આઈપી એડ્રેસ પરથી લિંક આવી હતી તેની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:08 pm

સાબરમતી નદીના પટમાં ખનીજ માફિયાઓનો 'ખેલ' ખતમ:માણસામાં 5 જિલ્લાની ટીમોનું મેગા ઓપરેશન, 4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત; સાબરકાંઠા-બનાસકાંઠાના શખસોના નામ ખુલ્યા

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ પર એકસાથે પાંચ જિલ્લાની તંત્રની ટીમોએ મધરાતે ત્રાટકીને 6 એસ્કેવેટર અને જેસીબી સહિત 8 વાહનો મળીને કુલ રૂ.4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સપાટો બોલાવી દેવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગની સૌથી મોટી કાર્યવાહી ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ સાબરમતી નદીમાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે ખાણ-ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટર મેહુલા સભાયા અને તેમની ટીમ દ્વારા બાતમીના આધારે ગઈકાલ મંગળવાર બપોરથી વોચ ગોઠવવામાં આવી હતી. બાદમાં મધરાતે રેડ કરવામાં આવી ત્યારે નદીના પટમાં ખોદકામ કરી રહેલા ભૂમાફીયાઓ પોલીસ અને ખાણ-ખનીજની ટીમને જોઈ મશીનો સાથે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. કૌભાંડનો છેડા સાબરકાંઠા-બનાસકાંઠા સુધી ફેલાયેલાજોકે ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા અને મહેસાણાની સંયુક્ત ટીમોએ વ્યુહાત્મક રીતે ઘેરો ઘાલીને 6 એસ્કેવેટર, 1 જેસીબી અને 1 ડમ્પરને સ્થળ પર જ જકડી લીધા હતા. આ કામગીરી મધરાત સુધી સતત ચાલુ રહી હતી. આ કાર્યવાહીમાં પકડાયેલી મશીનરીઓ તપાસતા માલૂમ પડ્યું છે કે આ કૌભાંડના છેડા છેક સાબરકાંઠા અને બનાસકાંઠા સુધી ફેલાયેલા છે. જપ્ત કરાયેલા મોટાભાગના એસ્કેવેટર મશીનો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના રાઠોડ પરિવારના સભ્યો અજયસિંહ, સૂર્યદેવસિંહ, ગોવાલસિંહ, ઈશ્વરસિંહ અને ધર્મેન્દ્રસિંહની માલિકીના હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠાના કોટડાના અને માણસાના શખસો પણ ભાડેથી મશીનો લાવીને નદીનું પેટાળ ચીરી રહ્યા હતા. નદીના પટમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટહાલમાં તમામ મશીનરીને સીઝ કરીને વીંઝોલ અને ચરણ ચેકપોસ્ટ ખાતે કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવી છે. માણસા અને પ્રાંતિજ પોલીસની હાજરીમાં કરાયેલી આ કામગીરી બાદ હવે નદીમાં થયેલા ખાડાઓની વૈજ્ઞાનિક માપણી કરવામાં આવશે. ગુજરાત મિનરલ નિયમો-2017 હેઠળ આ તમામ વાહન માલિકો વિરુદ્ધ કરોડો રૂપિયાનો દંડ અને કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી સાબરમતી નદીના પટમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:57 pm

બોટાદ DDOની અધ્યક્ષતામાં તુરખા ગામે સમીક્ષા બેઠક:વિકાસ યોજનાઓ, દબાણ અને આરોગ્ય સેવાઓ પર ચર્ચા

બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાની અધ્યક્ષતામાં તુરખા ગામે એક સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્રવર્તી શાળા સંબંધિત વિવિધ વિકાસ યોજનાઓ, દબાણ અને સેવાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પ્રથમ બેઠક ગ્રામ પંચાયત તુરખા ખાતે યોજાઈ હતી, જેમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં અમલમાં રહેલી વિવિધ વિકાસ યોજનાઓ અને પ્રગતિશીલ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગૌચર જમીન પર થયેલા દબાણ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) તુરખા ખાતે આરોગ્ય સ્ટાફ અને આશાબહેનો સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આર.સી.એચ. અધિકારીના માર્ગદર્શન હેઠળ SAM બાળકોની તપાસ, CMTCમાં રીફર કરાયેલ કેસો, જોખમી તથા અતિજોખમી સગર્ભા મહિલાઓની ડિલિવરી, ટી.બી. રેફરલ અને નોટિફિકેશન જેવી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. છેલ્લે, તુરખા કેન્દ્રવર્તી શાળા ખાતે તમામ શાળા સ્ટાફની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટેની વ્યૂહરચના, મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ અને શાળામાં ઉપલબ્ધ તથા ખૂટતી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તર અને હાજરીમાં સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:57 pm

સુરેન્દ્રનગરમાં ગોગો સિગારેટનું વેચાણ ઝડપાયું:SOGએ ત્રણ પાન પાર્લર સંચાલકો સામે કાર્યવાહી કરી, રૂ.3350નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર ગોગો સિગારેટના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાંથી ત્રણ પાન પાર્લર સંચાલકોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કુલ રૂ. 3350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી યુવાનોમાં નશાની બદી રોકવા માટે ગૃહ વિભાગના જાહેરનામાના અમલના ભાગરૂપે કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ એસ.ઓ.જી.ને જિલ્લામાં સગીરો અને યુવાનો દ્વારા ચરસ-ગાંજા જેવા નશાઓ માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણને રોકવા સૂચના આપી હતી. ગૃહ વિભાગ દ્વારા આ બદીને નાબૂદ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેના અસરકારક અમલ માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસ.ઓ.જી. સ્ટાફ સુરેન્દ્રનગર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રાજુ રંગાડિયા ( રાજ પાન પાર્લર), ધરમશી આલ (ડિલક્ષ પાન પાર્લર), અને અશ્વિન કાલિયા (સ્મોક લાઈટ પાન પાર્લર) નામના ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય પાનની કેબિનમાંથી અલગ અલગ ફ્લેવરના કુલ 335 સ્મોકિંગ કોન સ્ટીક જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.3350 થાય છે. આ મામલે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે કુલ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. વધુ કાર્યવાહી માટે આરોપીઓ અને મુદ્દામાલ સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, એ.એસ.આઈ. અનિરુદ્ધસિંહ મહીપતસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ અશ્વિન ઠારણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા, મીત મુંજપરા, સાહીલ મહંમદભાઈ સેલત, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ અશ્વિન વાઘેલા અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:53 pm

બોડકદેવની મિર્ચ મસાલા રેસ્ટોરાંમાં ચોરી:કિચનની જાળી તોડી 42 હજારના પિત્તળના વાસણો લઈ ફરાર

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોડકદેવમાં આવેલી જાણીતી મિર્ચ મસાલા રેસ્ટોરાંમાં ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ રેસ્ટોરાંના કિચનની પાછળ આવેલી લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને આશરે 42 હજાર રૂપિયાના પિત્તળના વાસણોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ રેસ્ટોરાંના મેનેજર ભૈરૂસિંહ દેવડાને સવારે કામ પર આવ્યા ત્યારે થઈ હતી. 16 ડિસેમ્બરના રોજ સવારે લગભગ 11 વાગ્યે જ્યારે તેઓ રેસ્ટોરાંમાં પહોંચ્યા ત્યારે ટેબલ પર થાળીઓ ગોઠવેલી ન દેખાતા તેમણે વેઈટર રાજન યાદવને પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે, કિચનમાં રાખવામાં આવેલી પિત્તળની થાળીઓ અને તપેલા ગાયબ હતા. 40 પિત્તળની થાળીઓ અને તપેલાની ચોરીપ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, ચોરોએ કિચનની પાછળ ઉપર તરફ આવેલી નાની લોખંડની જાળી કાપી અથવા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કિચનમાંથી કુલ 40 પિત્તળની થાળીઓ અને બે મોટા પિત્તળના તપેલા મળી કુલ અંદાજે 42 હજાર રૂપિયાનો સામાન ચોરી થયો છે. યુટિલિટી સ્ટાફે અગાઉની રાત્રે તમામ વાસણો સાફ કરીને નિયમિત જગ્યાએ મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે રેસ્ટોરાંના મેનેજર દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોશ વિસ્તારમાં ચોરી થતા સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યાહાલ પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બોડકદેવ જેવા પોશ વિસ્તારમાં થયેલી આ ચોરીની ઘટનાએ સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:49 pm

આણંદના ગામડીમાં બોગસ ડોક્ટર ઝડપાયો:મેડિકલ ડિગ્રી વગર પોતાના ઘરમાં પાંચ વર્ષથી દવાખાનું ચલાવતો હતો

આણંદના ગામડીમાં એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. આણંદ LCB પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 67 વર્ષીય અરવિંદ પરમારને તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવવા બદલ ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે ગામડીમાં ગાયત્રી મંદિર પાછળ આવેલી અનુરાધા સોસાયટીમાં અરવિંદ પરમાર કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર પોતાના ઘરમાં દવાખાનું ચલાવી રહ્યા છે. આથી, પોલીસે ચીખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડો. યોગેશકુમાર પારેખને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અરવિંદ પરમાર ઘરમાં હાજર મળ્યા હતા. પોલીસે તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર માંગતા, તેમણે તે પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરવા સક્ષમ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની દવાઓ, ડોક્ટરની પ્રેક્ટિસ માટેના સાધનસામગ્રી, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 24,247 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા અરવિંદ વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 અને 35 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:48 pm

કુંભમેળાની માફક થશે ભવનાથ મેળાનું આયોજન:જૂનાગઢમાં યોજાતા મેળાની તૈયારીના ભાગરૂપે ગાંધીનગરમાં બેઠક મળી, આગેવાનો, સંતો મહંતો તરફથી જરુરી સૂચનો કરાયા

જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ ભવનાથ મેળાના આયોજનને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને ભવ્ય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. કુંભ મેળાની જેમ ભવનાથ મેળાનું આયોજન કરાશેબેઠક દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે ભવનાથ મેળાનું આયોજન કુંભ મેળાની તર્જ પર કરવામાં આવશે. લાખોની સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, પીવાના પાણી, નિવાસ અને ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગિરનાર પર્વત વિસ્તારમાં ભીડ નિયંત્રણ અને વ્યવસ્થા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બેઠક મળીઆ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતો અને મહંતોએ પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. તેમણે પરંપરાગત રીતિ-રીવાજો જાળવી રાખવાની સાથે આધુનિક વ્યવસ્થાઓ ઉમેરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. સ્થાનિક આગેવાનોએ જુનાગઢ શહેર પર પડતા ભારને ધ્યાનમાં રાખી પાર્કિંગ, ટ્રાફિક ડાયવર્ઝન અને વેપારીઓ માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરી હતી. વહીવટી અધિકારીઓએ પ્રાથમિક આયોજનની રૂપરેખા રજૂ કરી અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને સમયસર કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી. આ સાથે આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી અને આરોગ્ય વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:47 pm

રાજકોટ સમાચાર:કમોસમી વરસાદના નુકસાન બદલ 2.39 લાખ ખેડૂતોને રૂ.665 કરોડ ચૂકવાયા

કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને ટેકો પૂરો પાડવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ અન્વયે પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે રાજકોટ જિલ્લામાં કુલ 2,41,466 ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી તા.17 ડિસેમ્બર સુધીમાં 2,39,215 અરજીઓની ચકાસણીની પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ.665 કરોડથી વધુની રકમ ડી.બી.ટી મારફતે સીધી અરજદાર ખેડૂતના આધારલિંક બેક ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે અન્ય ખેડૂતોની અરજી ચકાસણી પ્રક્રિયા સતત શરૂ છે. રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે 99 ટકાથી વધુ અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે ખેડૂતમિત્રોને આધાર સીડીંગ કરાવવાનું બાકી હોય તેઓને પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક કરાવી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી સહાયના નાણાં સરળતાથી ખેડૂતના ખાતામાં જમા થઈ શકે. કુંડલિયા કોલેજ પાસે ખાણીપીણીના નામે પડ્યા પાથર્યા રહેતા ગંજેરીઓને હટાવાયા મહાનગરપાલિકા દ્વારા શાસ્ત્રી મેદાન સામે કુંડલિયા કોલેજ પાસે આવેલી ખાઉંગલીમાં હોકર્સઝોન શરૂ કરીને ખાણીપીણીના ધંધાર્થીઓને આ સ્થળે ધંધો કરીને રોજગાર કમાવવા માટે પરવાનગી આપી છે. ત્યારે અવારનવાર વિવાદમાં રહેતી આ ખાઉંગલીમાં થોડા સમયથી ગંજેરી તરીકે ઓળખાતા માથાભારે શખ્સોએ ખાણીપીણીના ધંધાના નામે અડ્ડો જમાવીને કોલેજે આવતી વિદ્યાર્થિનીઓની સાથે ગંદી મજાક કરતા હતા. આ બાબત કોલેજના પ્રિન્સિપાલના ધ્યાને આવતાં તેઓએ કમિનશનર તુષાર સુમેરાને પત્ર લખીને ત્રાસ દુર કરવા માટે માગણી કરી હતી. આ બાબતે મ્યુનિ. કમિશરનર દ્વારા તુરંત જ પગલા લઇને દબાણ હટાવ વિરોધી શાખાના અધિકારી બારીયાને હોકર્સઝોનમાં ગેરકાયદે ઉભા રહેતા આવા આવારા તત્વોને હટાવવાનો આદેશ આપતાં આજે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દબાણ હટાવ શાખાએ કામગીરી કરતાં હોકર્સઝોનમાં ગેરકાયદે અડ્ડો જમાવીને બેઠેલા તત્વો રેકડી સહિત નાસી ગયા હતા અને કલેક્ટર તંત્ર હસ્તકના શાસ્ત્રી મેદાનમાં અડ્ડો જમાવ્યો હતો. મળતી વિગતો મુજબ કુંડલિયા કોલેજ પાસેના હોકર્સઝોનમાં ધંધો રોજગાર કરનાર ખાણીપીણીના ધંધાર્થીઓના કહેવા મુજબ એક શખ્સ માથાભારે તત્વો પાસેથી રેંકડીદીઠ દૈનિક રૂ.100નું ઉઘરાણું કરે છે. આ માટે એક ગંજેરીને જવાબદારી સુપરત કરાઇ છે. જો કોઇ ધંધાર્થી દૈનિક હપ્તો ન આપે તો મહાનગરપાલિકામા ફરિયાદ કરવામાં આવે છે. મનપાના સફાઈ કામદારોને સુરતની કંપનીએ ટ્રેનિંગ આપી મનપાની બેડીનાકા ડ્રેનેજ ઓફીસ ખાતે સુરતની કંપની દ્વારા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કામદારો, વ્યક્તિઓની કામગીરી દરમ્યાન સેફ્ટીના સાધનોના વપરાશ જેમ કે, પીપીઇ કીટ્સનો ઉપયોગ, સલામતી સાધનો અને મશીનોના ઉપયોગ અને મહત્વ, ગટરો અને સેપ્ટિક ટેન્કની સફાઈ પહેલાં, દરમ્યાન અને પછી લેવાતા સાવચેતી અંગે તાલીમ આપી ગટર અને સેપ્ટિક ટેન્કની જોખમી સફાઈ અટકાવવા માટે ટ્રેનીંગનું આયોજન કરાયું હતું. ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈની કામગીરી સાથે સંકળાયેલા કામદારો સાથે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેફ્ટીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાથી તથા સફાઈ કામગીરીની યોગ્ય એસઓપી અનુસરવાથી શક્ય અકસ્માતો નીવારી શકાય છે.આ તાલીમમાં અંદાજિત 100 જેટલા સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવેલ હતી. મનપાની આંગણવાડીઓમાં બાળદિન - અન્નપ્રાશનની ઉજવણી મહિનાનો ત્રીજો મંગળવાર એટલે બાળદિન અને અન્નપ્રાશનની ઉજવણીનો દિવસ. મંગળવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી ખાતે તમામ બાળકોના જન્મદિવસની ઉજવણી તેમજ 6 મહિના પૂર્ણ થતા બાળકને અન્નપ્રાસન કરાવીને ઉજવણી કરવામાં આવી હતી.સરકારની પૂર્વ પ્રાથમિક શિક્ષણને લઈને આજની થીમ વેશભૂષા આધારિત બાળકોને અલગ અલગ વેશભૂષા દ્વારા બાળકોને ફળ, ફૂલ, શાકભાજી, નેતા, સેવકો એ રીતે અલગ અલગ વ્યક્તિ તથા વસ્તુનો પરિચય થાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી. આજની બાળ દિવસની ઉજવણીમાં પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ દ્વારા વાલી મિટિંગ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. તેમની વિસ્તૃત માહિતી આપેલ તેમજ વિકાસ યાત્રા વિશે માહિતી આપેલ તેમજ માતાઓને ખાસ ટી. એચ. આર.નું મહત્વ, દરરોજ ખોરાકમાં બાલ શક્તિનો ઉપયોગ દિવસમાં ચાર વખત કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમજ બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટેના સઘન પ્રયત્ન કરવા માટે ખાસ સુચન કરવામાં આવ્યુ હતુ. સરકારી પોલીટેક્નીક ખાતે AI ની આવશ્યકતા અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન અપાયુ સરકારી પોલીટેક્નીક, રાજકોટ ખાતે તાજેતરમાં 'Data Driven Decision Making Al for Excellence' વિષય અંગે પાંચ દિવસીય (અઠવાડિક) ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં સંસ્થાના આચાર્ય ડો. એ. એસ. પંડયાએ શિક્ષણ ક્ષેત્રમાં આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ (A.I.)ની આવશ્યકતા, પ્રાધ્યાપકોની ભૂમિકા અને શૈક્ષણિક ગુણવતા વધારવા માટે A.I.ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે મુખ્ય અતિથિ ACP જાદવે ટેકનોલોજી, શિસ્ત અને જ્ઞાનના સંયોજન થકી શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓ સર્જવા તેમજ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને સતત શીખતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:45 pm

વેરાવળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવકો ઝડપાયા:બંને યુવકો મદરેસાના ફાળા માટે ગુજરાત આવ્યા હોવાની કબૂલાત, SOGની પૂછપરછ બાદ નિર્દોષ જણાતા મુક્ત કરાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના રામભરોસા ચોક વિસ્તારમાંથી SOG ગીર સોમનાથ દ્વારા બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને યુવકો મદરેસાના ચંદા માટે ગુજરાત આવ્યા હોવાનું જણાવ્યું હતું. ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.એમ.કાગડા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઝડપાયેલા યુવકોમાં અનીસ ઉલ રેહમાન (ઉ.વ. 21) અને મોહમદ અસલમ (ઉ.વ. 39) બંને જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લાના મદરેસામાં શિક્ષક તરીકે કાર્યરત હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંને યુવકોએ જણાવ્યું હતું કે તેઓ ગત તા. 01/12/2025ના રોજ કાશ્મીરથી અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જુનાગઢ, જેતપુર અને માંગરોળ સહિતના શહેરોમાં મદરેસાના ચંદા ઉઘરાવ્યા હતા. બે દિવસ માંગરોળમાં રોકાયા બાદ આજરોજ સવારે એસ.ટી. બસ મારફતે વેરાવળ પહોંચ્યા હતા. પોલીસ સમક્ષ બંને યુવકોએ સ્કેનર મારફતે ચંદો ઉઘરાવી જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લાના મદરેસાના એકાઉન્ટમાં ઓનલાઇન જમા કરાવતા હોવાની કબૂલાત આપી હતી. SOG પોલીસ દ્વારા જમ્મુ-કાશ્મીર પોલીસ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન સાથે બંને યુવકોના સરનામા અને પૃષ્ઠભૂમિ અંગે ક્રોસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું હતું. તપાસમાં હાલના તબક્કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી ન હોવાનું સ્પષ્ટ થતાં બંને યુવકોને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે સાવચેતીના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:42 pm

વેરાવળમાં 18 ડિસેમ્બરે 4 કલાક વીજ કાપ:11 કેવી દક્ષ ફીડરમાં સમારકામ, સવારે 10 થી બપોરે 2 સુધી પુરવઠો બંધ

વેરાવળ શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, ગુરુવાર, 18 ડિસેમ્બર, 2025ના રોજ ચાર કલાકનો વીજ કાપ રહેશે. PGVCLની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી દક્ષ ફીડરમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજ કાપથી શિવજીનગર, આદિત્ય પાર્ક, સોલંકી ટાયરની પાછળનો વિસ્તાર, ક્રિષ્ના સોસાયટી, નમસ્તે હોટલ પાસે, ફિશરીઝ કોલેજ, વિનાયક એપાર્ટમેન્ટ, પ્રમુખ નગર, બુલેટ શોરૂમ પાછળ, શ્રી નાથજી રેસીડેન્સી, યમુના માર્કેટ અને વેરાવળ બાયપાસ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. PGVCL દ્વારા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વીજ ગ્રાહકોને આ અંગે નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતનું જોખમ ઘટાડવા માટે પરિવારના સભ્યોની સલામતી હેતુસર વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાવવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:22 pm

સાયબર ક્રાઇમે 3.38 કરોડના ફ્રોડમાં ત્રણની ધરપકડ કરી:મ્યુલ એકાઉન્ટની તપાસના આધારે કાર્યવાહી, ફ્રોડની રકમ હવાલા મારફતે ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દુબઈ મોકલ્યાનું ખુલ્યું

આણંદ સાયબર ક્રાઇમ પોલીસે રૂ. 3.38 કરોડના સાયબર ફ્રોડના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મ્યુલ એકાઉન્ટની તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઇવ' અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. વડી કચેરી અને ભારત સરકારના I4C પોર્ટલ પરથી મળેલી મ્યુલ એકાઉન્ટની માહિતીના આધારે તપાસ શરૂ થઈ હતી. સાયબર ફ્રોડના વધતા બનાવોને રોકવા માટે, અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ આણંદ સાયબર ક્રાઇમે મ્યુલ એકાઉન્ટની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. આ તપાસના આધારે કુલ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, ગૌરવ ઠાકુરભાઇ શાહ (ઉમરેઠ)ના ઇશારે ક્રુતાર્થ દીવ્યાંગકુમાર શાહ (ઉમરેઠ)એ તેના મિત્રો ઋષિ અતુલકુમાર શાહ, ભારદ્વાજ યોગેશભાઇ ભીન્ડી અને હીરલકુમાર મિતુલભાઇ પટેલની મદદથી ષડયંત્ર રચ્યું હતું. આ ગેંગે ભારતના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરીને અનેક બેન્ક ખાતાઓમાં રકમ જમા કરાવી હતી. આ રીતે મેળવેલી કુલ રૂ. 3.38 કરોડની રકમને હવાલા મારફતે USDT ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરીને દુબઈ મોકલવામાં આવતી હતી. પોલીસ તપાસમાં આ સમગ્ર પ્રવૃત્તિ સંગઠિત રીતે થતી હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે પાંચ આરોપીઓ પૈકી ઋષિ અતુલકુમાર શાહ, ભારદ્વાજ યોગેશભાઇ ભીન્ડી અને હીરલકુમાર મિતુલભાઇ પટેલની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ગુનામાં કુલ 17 મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. NCCRP પોર્ટલ પર ભારતના વિવિધ રાજ્યોમાંથી આ એકાઉન્ટ્સ પર કુલ 37 ઓનલાઇન ફાઇનાન્સિયલ ફ્રોડ અને સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડીઆરોપીઓ એકબીજાના મેળાપીપણામાં પૂર્વ આયોજીત રીતે ષડયંત્ર રચી લોકોને વિશ્વાસમા લઇ એકાઉન્ટ ખોલાવતાં. જે બાદ તેમના બેન્ક ખાતાઓમાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી નાણા મેળવી આગળ હવાલા મારફતે તેમના મળતીયાઓને મોકલી સાયબર ફ્રોડને અંજામ આપતા હતા. બે આરોપીઓ હાલ દુબઈ હોવાનું જાણવા મળ્યું છે: DYSPઆ અંગે નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધી ગુપ્તે જણાવે છે કે, આ પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાકીના બે આરોપીઓ હાલ દુબઈ ખાતે ગયા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. જે અંગે વધુ તપાસ ચાલું છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:19 pm

પંચમહાલના 18,000 ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય:ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, યોગ્ય તપાસની માંગ કરી

પંચમહાલ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ-2025ની અમલવારીમાં વિલંબ અને ભેદભાવના આરોપોને પગલે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. સંઘે અંદાજે 18000 ખેડૂતોના બાકી સર્વેને પૂર્ણ કરવા અને ઓછી સહાય મળવાના મામલે યોગ્ય તપાસની માંગ કરી છે. કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ યુ. ચૌહાણની રજૂઆત મુજબ, કમોસમી વરસાદને કારણે ડાંગર, મકાઈ, કપાસ, દિવેલા, સોયાબીન, તમાકુ અને શાકભાજી સહિતના મુખ્ય પાકોને 33 ટકાથી વધુ નુકસાન થયું હતું. આ નુકસાન સામે સહાય મેળવવા જિલ્લાના કુલ 60,000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી. આવેદનપત્રમાં સંઘે જણાવ્યું છે કે, જિલ્લા ખેતીવાડી અધિકારીએ માત્ર 42,000 ખેડૂતોનો જ સર્વે કર્યો હોવાનું જાહેર કર્યું છે. આના પરિણામે, અંદાજે 18,000 જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહી જવાનો ભય સેવાઈ રહ્યો છે. સંઘનો આક્ષેપ છે કે જે સર્વે થયો છે તે પણ મનસ્વી રીતે અને ઘરબેઠા આંકડા ભરીને કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોને જાહેર થયેલા ₹22,000 પ્રતિ હેક્ટર વળતરને બદલે માત્ર ₹5,000 જેટલી ઓછી સહાય મળી છે, જે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યું છે. ભારતીય કિસાન સંઘે કલેક્ટરને વિનંતી કરી છે કે બાકી રહેલા 18,000 ખેડૂતોનો સર્વે તાત્કાલિક કરાવવામાં આવે. ઉપરાંત, ઓછી સહાય મળવાના મામલે તપાસ કરી પંચમહાલના ખેડૂતોને અન્ય જિલ્લાના ખેડૂતોની જેમ પાકોનું પૂરેપૂરું વળતર મળે તે માટે કાર્યવાહી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:15 pm

અમદાવાદની હોટલમાં હાથની નસ કાપી યુગલનો આપઘાતનો પ્રયાસ:યુવકનું હોટલ રૂમમાં જ મોત, યુવતીને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ; આપઘાત પાછળનું કારણ અકબંધ

અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવક અને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકનું હોટલના રૂમમાં જ મોત નીપજ્યું છે જ્યારે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. યુવક યુવતી બંને એક જ સમાજના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હાથની નસ કાપી યુવક-યુવતીનો આપઘાતનો પ્રયાસશહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઈલી સ્ટે નામની હોટલમાં ગઈકાલે એક યુવક અને યુવતી રોકાવા આવ્યા હતા. જોકે, આજે બપોરે 2થી 2:30 વાગ્યાની આસપાસ બંનેએ અગમ્ય કારણોસર હોટલના રૂમમાં જ હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી હોટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કર્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. ઇજાગ્રસ્ત યુવતી હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલપોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, યુવક અને યુવતીની ઉંમર 23 અને 24 વર્ષ છે. બંને અમદાવાદમાં શેલા વિસ્તારના રહેવાસી છે અને બંને એક જ સમાજના છે. બંને ગઈકાલે બપોરે ભાગીને ઘરેથી હોટલમાં આવ્યા હતા. યુવક અને યુવતીએ હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. બંનેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. યુવતી હાલ બેભાન અવસ્થામાં છે જેથી ભાનમાં આવ્યા બાદ હકીકતની જાણ થશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:14 pm

બાઈક ચાલક સામે ફરિયાદ:મ્યુઝિકલ હોર્ન વગાડ્યા બાદ રેપીડો ચાલકે પોલીસ સાથે બોલાચાલી કરી કહ્યું: 'પોલીસવાળા છો, તો શું ગયું? લોકોને હેરાન કરો છો', સરકારી કામમાં અડચણ ઊભી કરી

વડોદરા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ એક શંકાસ્પદ કારની તપાસ કરી રહ્યા હતા, ત્યારે પસાર થતી બાઇક ચાલકે જોરજોરથી મ્યુઝિકલ હોર્ન વગાડ્યું હતું. પોલીસે તેને રોકીને હોર્ન વગાડવા સામે વાંધો ઉઠાવતા બાઈક ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી તેમજ ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો. આ ઘટનામાં સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા બદલ હરણી પોલીસે આરોપી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હરણી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેશસિંહ મગનસિંહે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સ્ટાફ સાથે પેટ્રોલિંગ પર હતા. બપોરે આશરે 2.30 વાગ્યે પાંજરાપોળથી ખોડીયારનગર તરફ જતા રોડ પર રસ્તાના કામને કારણે એક તરફની લેન ચાલુ હતી. તે વખતે ડી-માર્ટ સામેના લક્ષ્ય એવન્યુ ફ્લેટ્સ પાસે એક ફોર વ્હીલર વાહન શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં પોલીસે તેને કોર્ડન કરી તપાસ માટે ઊભું રાખ્યું હતું. આ દરમિયાન ખોડીયારનગર તરફથી આવતી બાઇકચાલક જયેશભાઈ ઇન્દ્રકુમાર ગુલાણી (ઉ.વ. 25, રહે. મકાન નં. ૨૬, કૃષ્ણનગર સોસાયટી, ખોડીયારનગર, ડી-માર્ટ સામે, પાંજરાપોળ રોડ, વડોદરા, ધંધો : રેપીડો ચાલક) જોરજોરથી મ્યુઝિકલ હોર્ન વગાડતા પસાર થઈ રહ્યા હતા. પોલીસે પોતાની ઓળખ આપીને તેને હોર્ન વગાડવા સામે રોક્યો, તો જયેશભાઈ એકાએક ગુસ્સે થઈ ગયા હતા અને જોરથી બૂમો પાડવા લાગ્યા કે, તમે પોલીસવાળા હોવ તો શું થઈ ગયું? રસ્તામાં લોકોને આમ હેરાન કરો છો. તેમણે ગાળાગાળી કરી હતી. પોલીસે ગાળો બોલવા ના પાડતાં પણ તેઓ બોલાચાલી કરતા રહ્યા હતા. આખરે પોલીસે જયેશભાઈને હરણી પોલીસ સ્ટેશન લાવીને સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવા બદલ કાયદેસર કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:08 pm

દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : 'ટેરિફને હથિયાર' બનાવતા દેશોને સીતારમણની ચેતવણી

Finance Minister Nirmala Sitharaman On Tariff War : વિશ્વભરમાં વૈશ્વિક વેપાર કરવાની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ સાથે પડકારો પણ વધી ગયા છે. ટેરિફ જેવા કરનો ઉપયોગ કરીને વૈશ્વિક વેપારને હથિયાર બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ મામલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચિંતા વ્યક્ત કરી છે. ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ થતા સાવધાન : નાણાંમંત્રી નાણામંત્રીએ ખાનગી મીડિયાના કાર્યક્રમમાં કહ્યું કે, આજના સમયમાં કર અને અન્ય રીતે વૈશ્વિક વેપારનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં ભારતે ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાનો રસ્તો નક્કી કરવો પડશે.

ગુજરાત સમાચાર 17 Dec 2025 8:07 pm

Editor's View::હૈદરાબાદમાં સ્વિગી રાઈડર કસ્ટમરના કૂતરાથી ડરી ત્રીજા માળેથી કૂદતાં મોત, ગીગવર્કરના અકસ્માતની ટાઈમલાઈન

હૈદરાબાદમાં 23 વર્ષના સ્વિગી રાઈડર મોહમ્મદ રિઝવાન કસ્ટમરના કૂતરાથી ડરી ત્રીજા માળેથી કૂદ્યો અને મોત થયું. મુંબઈમાં ઉબર રાઈડર પાછળ બેસેલા શુભાંગી માગરેનું એક્સિડન્ટમાં મોત. નોઈડામાં ડિલિવરીનાં દબાણમાં રોંગ સાઈડ જનાર 24 વર્ષના બ્લિંકિટ રાઈડર પ્રવીણનું મોત. અને તેલંગાણામાં અર્બન કંપનીના બ્યુટિશિયન ચંદ્રિકાનું બાઈક ચલાવતી વખતે એક્સિડન્ટમાં મોત. અલગ અલગત તારીખો, અલગ અલગ શહેરો, અલગ અલગ કંપનીઓ, અલગ અલગ લોકો… પરંતુ અંત એક જ – મોત. આવા બનાવોની ગણતરી કરીએ તો અઢળક છે જે આપણા ધ્યાનમાં નથી આવતા. અને સામેની બાજુ આ દુર્ઘટના બાદ તમારા મોબાઈલમાં મેસેજ આવે છે.... વાંચીને સ્વાભાવિક છે તમને ગુસ્સો આવે, તમે કંપનીને ફરિયાદ કરો કે એક્સ પર લાંબી પોસ્ટ લખો અને તમને 50 રૂપિયાનું રિફંડ મળે છે. પડદાની પાછળ તમે નજર કરશો તો કોઈનો જીવ તે 50 રૂપિયા કરતા મહત્વનો છે તે આપણે ભૂલી જઈએ છીએ. અને વાત અહીં પૂરી નથી થઈ જતી. ખરી વાત તો શરૂ હવે થાય છે કારણ કે આપણે 10 મિનિટની સગવડ માટે જે કિંમત ચૂકવી રહ્યા છીએ એના સેન્ટરમાં રૂપિયો નથી પણ કોઈ માણસનું જીવન છે. માટે જ આજે વાત કરીશું ડિજિટલ ગુલામીમાં કામ કરતા કંપની રાઈડર્સની જે આપણને તો ડિલિવરી આપે છે પણ બદલામાં તેમને ઝડપના કારણે મોતની સજા મળે છે. નમસ્કાર.... NITI Aayogના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, 2029-30 સુધીમાં ભારતમાં 2.35 કરોડ લોકો એટલે કે લગભગ ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી જેટલા લોકો આ ‘ગીગ ઈકોનોમી’નો ભાગ હશે. માટે તેમને પડતી સમસ્યાની વાત કરવી એક સમજદાર અને જવાબદાર નાગરિક તરીકે અતિ જરૂરી બને છે. ગીગ ઈકોનોમી વર્કફોર્સ આ વાત એવી સિસ્ટમની છે જેણે આપણી સંવેદનાઓ બૂઠી કરી નાખી છે જેની આપણને ખબર પણ નથી. આ મુદ્દો ટ્રાફિકના નિયમ પૂરતો નથી. આ મુદ્દે 21મી સદીની ગીગ ઈકોનોમીનો છે. જે હવે સંસદમાં પણ ગુંજી ચૂક્યો છે. થોડું ભૂતકાળમાં ડોકીયું કરીએ તો એક સમય હતો જ્યારે ઓર્ડર આપો એટલે અઠવાડિયું લાગતું, પછી 3-4 દિવસ થયા અને હવે 10 મિનિટમાં ડિલિવરી મળે છે. અને એમાં પણ 7 મિનિટમાં ડિલિવરી મળે તેની પ્લાનિંગ ચાલી રહી છે. આટલી કંપનીઓ ઝડપી ડિલિવરીની સુવિધા આપે છે. માણસ નહીં, મશીન બનતા લોકો આમાં કામ કરીને પોતાના પરિવારનું પેટિયું રડતા લોકોને આપણે વર્કિંગ ક્લાસ કહીએ છીએ. સરકાર તેમને ગીગ વર્કર્સ કહે છે. અને જે કંપનીમાં તેઓ કામ કરે છે તે તેમને પાર્ટનર કહે છે. પણ હકિકતમાં આ એવો ચક્રવ્યૂહ છે જેમાં અભિમન્યુ દાખલ તો થાય છે પણ બહાર નીકળવું અઘરું છે. આ મુદ્દો સમજવા માટે આપણે બે શબ્દો જાણવા પડે. ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ. ઈ-કોમર્સ એટલે એમેઝોન કે ફ્લિપકાર્ટ, જ્યાં ડિલિવરીમાં 2-4 દિવસ લાગે છે. ક્વિક કોમર્સ એટલે બ્લિંકિટ કે ઝેપ્ટો જ્યાં 10-20 મિનિટમાં ડિલિવરી થાય છે. 2024માં ક્વિક કોમર્સમાં ભારતમાં 14 હજાર 300 કરોડનું જંગી રોકાણ થયું હતું. જેના કારણે મેટ્રો સિટીથી લઈને સુરત-રાજકોટ-વડોદરાની ગલીઓ સુધી આ કંપનીઓ અને રાઈડર્સ પહોંચી ગયા છે. 2023 સુધીમાં ક્વિક કોમર્સનું કદ બજારમાં 8.2 લાખ થવાનો અંદાજ હતો. આપણે આ ઉતાવળિયા સમયમાં પહોંચ્યા કેવી રીતે અને આપણી ધીરજનું મોત કેવી રીતે થયું તે સમજીએ... ધીરે ધીરે ધીરજનું મોત! આ સમયમાં આપણી આદતમાં પણ ફેર આવ્યો છે. પહેલા આપણે જરૂરિયાત માટે ઓર્ડર કરતા હતા અને હવે ઈચ્છા સંતોષવા માટે ઓર્ડર કરીએ છીએ. જેના માટે કંપનીઓએ પોતાનું સુનિયોજિત ઝાળ બિછાવ્યું છે. કંપનીઓનો ખર્ચ અને ઓર્ડર જે પૂરા કરવા માટે કંપનીઓએ શહેર વચ્ચે ડાર્ક સ્ટોર ઉભા કર્યા છે જે માણસો માટે નહીં પણ રોબોટિક સ્પિડથી ડિલિવરી માટે ડિઝાઈન થયેલા છે. અહીં બધું મળી રહે છે અને ડિલિવરીવાળા ત્યાંથી તમારા સુધી પ્રોડક્ટ પહોંચાડે છે આ પ્રોસેસમાં રાઈડરનું જે શોષણ થાય છે, તે ચોંકાવનારું છે. શોષણના 3 પાયા Fairwork India અને અન્ય અભ્યાસો બતાવે છે કે રાઈડરની કમાણી ગીગ વર્કર રાઈડરની કમાણી કોરોના સમયે રાઈડર્સને સરેરાશ 35 રૂપિયા મળતા હતા પણ હાલ મોંઘવારી વધી, પેટ્રોલ મોંઘું થયું છતાં રાઈડર્સને સરેરાશ 15-20 રૂપિયા મળે છે. પેટ્રોલ, બાઈક મેઈન્ટેનન્સ અને મોબાઈલ ડેટા બધું રાઈડર્સના ખિસ્સામાંથી વપરાય છે. પહેલા 2 કિલોમીટરની ડિલિવરી હતી અને 5 કિલોમીટર સુધી પહોંચી છે. ડિલિવરી મેનને ‘કર્મચારી’ નહીં, ‘પાર્ટનર’ કહેવાનું ગણિત અને કાયદાકીય છટકબારીની વાત કરીએ તો કંપનીઓ ગીગ વર્કર્સને કર્મચારી નહીં પણ પાર્ટનર કહે છે. જેનું કારણ છે કે જો કર્મચારી ગણે તો PF, પેન્શન, મેડિકલ લીવ અને ESIC પડે. રાઈડરને પાર્ટનર કહીને કંપની સીધો 25-30 ટકા ફાયદો પોતાના થેલામાં નાખે છે. અને પાર્ટનર કહેવાનું બીજું કારણ છે કે માનીલો ઓલા ડ્રાઈવરનું સિગ્નલ તૂટે અને અકસ્માત થાય અને મોત થઈ જાય તો કંપની કહી દે આ તો અમારો કોન્ટ્રાક્ટર છે. સીધા જવાબદારીથી હાથ ઉંચા કરવાની તક. ઈન્સેન્ટિવ પાછળ મોતની દોડ આ મુદ્દા વિશે વાત કરવા પાછળનું ત્રીજું અને સૌથી ભયાનક કારણ છે મોતના મંડાણ. કંપનીઓના રાઈડર શોખથી ઝડપી બાઈક કે રોંગ સાઈડમાં બાઈક નથી ચલાવતા. તેઓ કંપનીઓની એલ્ગોરિધમમાં ફસાયેલા છે. ડિનર ટાઈમાં ઓર્ડર પૂરા કરે તો ઈન્સેન્ટિવ મળે છે. માની લો કે 15 ઓર્ડર પૂરા કરવાના છે. 14 ઓર્ડર પૂરા થયા અને ડિનર ટાઈમ પૂરો થવા આવ્યો તો 15 ઓર્ડરના એક્સ્ટ્રા 200 રૂપિયાના કારણે સ્પીડિંગ કરે છે અને બદલામાં એક્સિડન્ટ કે મેત મળે છે. મે 2024માં ગુડગાંવમાં 20 વર્ષના ઝેપ્ટો ડ્રાઈવરના મોત પાછળ ટાર્ગેટ પ્રેશર જ જવાબદાર હતું. ટેક કંપનીઓનો ધ્યેય ‘તમારી આદત બદલવી’ હવે આ બિઝનેસ પાછળની એવી વાત જે બહુ ઓછા લોકોને ખબર હોય છે. કંપનીઓ ખરેખર પ્રોફિટમાં નથી હોતી પણ કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. તેમનો ટાર્ગેટ પોતાની કંપનીનું નામ ચમકાવવું તો હોય જ છે પણ આપણી આદત બદલવું તેનાથી પણ મોટી પ્રાયોરિટી હોય છે. આપણને 10 મિનિટમાં શાકભાજી મગાવવાની લત લગાડી તેમને પ્લેટફોર્મ ફી, રેઈન ફી, નાઈટ ચાર્જ અને સ્મોલ કાર્ટ ફી મળે છે. ટૂંકમાં ગ્રાહક આળસું બને છે અને રાઈડર લાચાર. જીતે છે કોર્પોરેટ જાયન્ટ કંપનીઓ. આપણે અત્યારે સમજવું જરૂરી છે કારણ કે આવનારો સમય આનાથી પણ ખરાબ હોય શકે છે. નીતિ આયોગના રિપોર્ટ અને ટેક્નોલોજીના ટ્રેન્ડથી ભવિષ્યની 3 શક્યતાઓ જોઈ શકાય છે. ગ્રોથનું એક્સપ્લોઝન પહેલું, ખેતી સાથે જોડાયેલા નથી તે લોકો આ રોજગારીમાં ઝંપલાવે છે. કારણ કે અહીં કામ સહેલું હોય છે. ઓટોમેશન થ્રેટ બીજું, ખબર હોય તો કચ્છમાં પોસ્ટ વિભાગે ડ્રોનથી 46 કિલોમીટરનું અંતર માત્ર 30 મિનિટમાં કાપીને પાર્સલ પહોંચાડવાનો પ્રયોગ કર્યો હતો. આજે રાઈડરને નોકરીની ખુશી છે પણ ભવિષ્યમાં ડ્રોન સસ્તા થશે ત્યારે માણસ ડિલિટ થશે અને ડ્રોન ઈન થશે. રેગ્યુલેટરી બેટ ત્રીજો મહત્વનો મુદ્દો સમજવા જેવો છે. સરકાર સોશિયલ સિક્યોરિટી કોડ લાવવાની વાત કરે છે. પણ જ્યાં સુધી આ કડક અમલો લાગુ નહીં થાય ત્યાં સુધી ગીગ વર્કર મોર્ડન ગુલામીમાં ડૂબેલા રહેશે. ગીગ વર્કરને થતી તકલીફો આપણે ડિલિવરી તો તરત જોઈએ છે પણ તેની પાછળના પિક્ચરને ખબર નથી હોતી. ઠંડી હોય, તડકો હોય, કે વરસાદ હોય રાઈડરને આરામ નથી મળતો. જેના લીધે તેમના કમરના મણકા ઘસાઈ જાય છે, કિડની સ્ટોન પણ વધે છે, ડિહાઈડ્રેશનના શિકાર પણ બને છે. ડિલિવરી રાઈડરનું જીવન બંધુઆ મજદૂર સમાન રાઈડર નિવૃત થશે ત્યારે તેની પાસે પેન્શન કે PF પણ નહીં હોય અને હાડકા પણ ભાંગેલા હશે. અંગ્રેજો જે રીતે બંધુઆ મજદૂરી કરાવતા હતા આ પણ એક પ્રકારની બંધુઆ મજદૂરી જ છે. ફરક એટલો છે પહેલા અપમાન મળતું હતું અને હવે રેટિંગ મળે છે. યાદ રાખજો! તમારો પીઝા જો ઠંડો આવે તો મફત મળે છે, પણ એ લાવનાર ડિલિવરી બોયની લાશ જો ઠંડી થઈ જાય તો સરકાર પણ તેની નોંધ નથી લેતી અને કંપની પણ ઉંચા હાથ કરી દે છે. અને છેલ્લે..... દિવ્ય ભાસ્કરે ગાંજા અને ડ્રગ્સના દુષણ સામે લાલ આંખ કરી અને સુરતમાં આવી જ ક્વિક કોમર્સ ડિલેવરીથી મળતા ગોગો પેપરનો ભાંડો ફોડ્યો. મીડિયાનું દબાણ વધતા ગુજરાત સરકારે 10 મિનિટમાં મળતા નશાના દુષણ એવા રોલિંગ કે ગોગો પેપર બંધ કર્યા. નશેડીઓ ક્વિક કોમર્સનો ઉપયોગ એટલા માટે કરતા હતા કારણ કે તે ગાંજો પીતા કે ગોગો પેપર લેતા પોલીસના હાથે પકડાઈ ન જાય. માટે ક્વિક કોમર્સ મોતનો ખેલ તો છે જ પણ ડિજિટલ ડ્રગની ડિલિવરી પણ છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ-સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:55 pm

તાલીમ આપ્યા વગર જ પ્રાઇવેટ સિક્યોરિટીનું લાઇસન્સ બનાવી આપ્યું:એજન્ટે 1.60 લાખ લઈ ખોટી રીતે લાઇસન્સ બનાવ્યું, બે લોકો સામે ફરિયાદ નોંધાઈ

પ્રાઈવેટ સિક્યુરિટીના લાઈસન્સ માટેની કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વગર આલ્ફા સિક્યુરિટી સર્વિસ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ખોટી રીતે એજન્ટ બનીને બેઠા હોવાનું સામે આવ્યું છે. ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ભરૂચના માલિક નીયોળીયા જશવંતસિંહે બરોબર બીપીન મિસ્ત્રીને પ્રાઇવેટ સિક્યુરિટી અંગેની તાલીમ આપ્યા સિવાય બનાવટી ખોટું તાલીમ સર્ટી બનાવી જે સર્ટીનો ખરા તરીકે ઉપયોગ કરી પ્રાઇવેટ સિક્યુરિટી લાઇસન્સ બનાવી આપ્યું હતું. તેમજ લીગલ અદાના માલિક રવિરાજસિંહ ગોહિલે તાલીમ આપવાની હોવા છતાં તાલીમ ન આપી ખોટી રીતે તાલીમ માટેનું ખોટું સર્ટી બનાવી સાચા તરીકે મોકલી લાઈસન્સ મંજૂર કરાવ્યું હતું. જેને લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નિયોળીયા જશવંતસિંહ અને રવિરાજસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ છે. લાયસન્સના જરૂરી ડોક્યુમેન્ટ બાબતે પૂછપરછ કરી હતીગાંધીનગરમાં પોલીસ ભવનમાં મુખ્ય ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રકુમાર ચતુર્વેદીએ બીપીન મિસ્ત્રી માટે પ્રાઇવેટ સિક્યુરિટી લાઇસન્સ લેવા માટે લાયસન્સના જરૂરી ડોક્યુમેન્ટ બાબતે પૂછપરછ કરી હતી. પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીએ ધંધો ચાલુ કરવું હોય જેથી તેનું લાઇસન્સ કેવી રીતે મળે તેને લઈને ગૂગલ પર સિક્યુરિટી લાઇસન્સ ઇન ગુજરાત સર્ચ કરતા લીગલ અદા વેબસાઈટ જોવા મળી હતી. જેમાંથી ફોન નંબર લઈને પ્રાઇવેટ સિક્યુરિટી લાઇસન્સ લેવા માટેની પૂછપરછ કરી હતી. વિરમના ખાતામાં 60 હજાર મોકલી આપ્યા હતાજે દરમિયાન રવિરાજસિંહ ગોહિલે લાઇસન્સ આપવાની સમગ્ર પ્રોસિઝર જણાવી હતી. લાઇસન્સ મેળવી અપવાવવા માટેનું પ્રાઈઝનું ફોર્મેન્ટ પણ આપ્યું હતું. જેમાં ગુજરાતના લાયસન્સ માટે 1.60 લાખ લખેલા હતા. જે બાદ ફરિયાદીને રવિરાજસિંહ નવરંગપુરામાં આવેલી લીગલ અડ્ડા નામની ઓફિસ પર મળવા બોલાવ્યા હતા. જ્યાં લાઇસન્સ મેળવવા માટેની સમગ્ર પ્રોસિઝર સમજાવવામાં આવી હતી. જેથી તેના ભાગીદાર વિરમ નામના વ્યક્તિના ખાતામાં 60 હજાર રૂપિયા મોકલી આપ્યા હતા. તેમજ જે પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા તે પણ ફરિયાદીએ મોકલી આપ્યા હતા. ત્યારબાદ લાઇસન્સ મળી જ જશે તેવું કહી બાકીના રૂપિયા પણ લઈ લેવામાં આવ્યા હતા. બે લોકો સામે ફરિયાદ નોંધાઈઅરજીથી લઈને લાઇસન્સ મેળવવા સુધીની સમગ્ર પ્રોસિઝર કરાવી આપવાની ફરિયાદીને ખાતરી આપવામાં આવી હતી. જે બાદ આલ્ફા સિક્યુરિટી સર્વિસ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ભરૂચ ખાતેથી તાલીમ લીધા હોવાનું સર્ટિફિકેટ બીપીન મિસ્ત્રીને બતાવ્યું હતું. જેમાં ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લીધા હોવાનું સર્ટિફિકેટ હતું અને સિક્કો પણ લગાવેલો હતો. કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વગર જ ખોટી રીતે સર્ટી બનાવી સાચા તરીકે લાયસન્સ મંજૂર કર્યું હોવાનું સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નિયોળીયા જશવંતસિંહ અને રવિરાજસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:52 pm

દમણ અપહરણ-ખંડણી કેસમાં આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી ફગાવી:બોમ્બે હાઈકોર્ટે મામલાની ગંભીરતા ધ્યાને લઈ જામીન અરજી રદ કરી

સંઘપ્રદેશ દમણમાં પર્યટકોના અપહરણ અને ખંડણીના ગંભીર કેસમાં બોમ્બે હાઈકોર્ટે આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસમાં દમણ ક્રાઈમ બ્રાન્ચના PSI ધનજી દુબરીયા સહિત કુલ નવ પોલીસકર્મીઓ આરોપી તરીકે જેલમાં બંધ છે. ફરિયાદ અનુસાર, ઓગસ્ટ મહિનામાં દમણ ક્રાઈમ બ્રાન્ચના કેટલાક પોલીસકર્મીઓએ ત્રણ પર્યટકોનું અપહરણ કર્યું હતું. તેમને ગોંધી રાખીને રૂ. 25 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ મામલો સામે આવતા PSI સહિત નવ પોલીસકર્મીઓ વિરુદ્ધ અપહરણ, ધાકધમકી અને ખંડણી જેવી બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષે આક્ષેપ કર્યો હતો કે, ચાર્જશીટમાં ગંભીર કલમો હટાવીને સામાન્ય અને જામીનપાત્ર કલમો ઉમેરવામાં આવી હતી. દમણ પોલીસ દ્વારા આરોપી પોલીસકર્મીઓને મદદ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા હતા. જોકે, બોમ્બે હાઈકોર્ટે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને PSI ધનજી દુબરીયા સહિત તમામ આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી રદ કરી છે. આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી ફરી એકવાર ફગાવાતા દમણમાં આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:51 pm

રેલવે મુસાફરોને મોટો ઝટકો! ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિતી

Indian Railways: રેલવેમાં મુસાફરી કરતાં લોકોએ હવે ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ મામલે સરકારે માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (17 ડિસેમ્બર) જણાવ્યું કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને નક્કિ કરાયેલા સામાનથી વધુ વસ્તુ હશે તો તેનો ચાર્જ ચૂકવવાનો રહેશે. તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ વેમિરેડ્ડી પ્રભાકર રેડ્ડીએ પૂછેલા સવાલના લેખિત જવાબમાં વૈષ્ણવે સામાન પર એકસ્ટ્રા ચાર્જ મામલે નિવેદન આપ્યું હતું. રેડ્ડીએ અગાઉ પૂછ્યું હતું કે, શું રેલવે, એરપોર્ટ પર અપનાવવામાં આવેલા સામાનના નિયમો જેવા જ ટ્રેન મુસાફરો માટે સામાનના નિયમો લાગુ કરાશે? જેના જવાબમાં વૈષ્ણવે કહ્યું કે, 'હાલમાં ટ્રેનના કોચની અંદર મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તેમાં ક્લાસ મુજબ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર 17 Dec 2025 7:37 pm

APK ફાઇલની પર ક્લિક કરતા પહેલા સાવધાન:વડોદરામાં SBIમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી યુવક સાથે 1.36 લાખ રૂપિયાની ઠગાઇ, એપીકે ફાઇલ પર ક્લિક કરતા 2 ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા કપાઇ ગયા

વડોદરા શહેરના આજવા રોડ પરથી આવેલી સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા યુવકને ભેજાબાજોએ SBIમાંથી બોલતા હોવાની ઓળખ આપી હતી, ત્યારબાદ તેમના ક્રેડિટકાર્ડમાં ઇન્ટરનેશનલ સર્વિલ ચાલુ થઇ ગઇ છે, જે બંધ કરાવવા માટે તમારા 5 હજાર ચૂકવવા પડશે. જેથી યુવકે હા પાડતા યુવક ઠગોએ તેમના પર એક કસ્ટમર સપોર્ટની એપીકે ફાઇલની લિંક મોકલી હતી, જેના પર યુવકે ક્લિક કરતા જ તેમના એસબીઆઇ તથા એચડીએફસીના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 1.36 લાખ બોરાબાર કપાઇ ગયા હતા. જેથી યુવકે પોતાની સાથે ફ્રોડ થયો હોવાનુ માલુમ પડતા તેણે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરાના આજવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતો યુવક ખાનગી નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ગત 22 ઓગસ્ટ 2025ના રોજ અજાણ્યા મોબાઈલ પરથી યુવક પર કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, અમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી બોલીએ છીએ. તમારા એસબીઆઇના ક્રેડિટ કાર્ડ નંબર તેમજ એચડીએફસી બેંક ક્રેડીટ કાર્ડ નંબર પર ઇન્ટરનેશનલ સર્વિસ ચાલુ થઇ ગઇ છે, જો તમારા આ સર્વિસ હટાવવી હોય તો તેના માટે તમારે રૂપિયા 5 હજાર જેટલો ચાર્જ ચુકવવો છે. જેથી યુવકે આ ચાર્જ હટાવવા માટે હા પાડી હતી. ભેજાબાજોએ આ ઇન્ટરનેશનલ સર્વીસ હટાવવા માટે તેમને એક લીંક મોકલી હતી. આ લીંક Customer Support_ p38.apk લખેલુ હતું ત્યારબાદ આ ઠગો દ્વારા યુવકને આ લિંક પર ક્લીક કરવા માટે કહ્યું હતું. જેથી યુવકને તેમના પર વિશ્વાસ આવી ગયો હોય તેમના કહ્યાં મુજબ યુવકે આ લિંક ક્લિક કરતા એક લિંક ખુલી હતી. ત્યારબાદ બપોરના 4.30 વાગ્યાની આસપાસ તેમના એસબીઆઇના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 71 હજાર તથા એચડીએફસીના ક્રેડિટ કાર્ડમાથી રૂપિયા 69 હજાર હજાર કપાઈ ગયા હતા. યુવકના અલગ અલગ બન્ને ક્રેડિટ કાર્ડમાંથી રૂપીયા 1.36 લાખ બારોબાર કપાઈ ગયા હતા. જેના મેસેજ આવ્યાં હતા. આ મામલે યુવકે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઠગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:23 pm