SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ:અબડાસા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ

અબડાસા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ હતી. દર વર્ષ મુજબ માગશર સુદ પુનમના ગુરૂદત્ત જયંતીએ નલિયા ખાતે યોજાઈ હતી. જેમાં અબડાસા તાલુકાના દશનામ ગોસ્વામી સમાજના ભાઇઓ મોટી સંખ્યામાં હાજર રહી કલ્યાણેશ્વર મહાદેવથી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા (રવાડી) કાઢવામાં આવી હતી. સામાન્ય સભા અને સ્નેહમિલન યોજાયું હતું. જેમાં સમાજ વિકાસના મુદ્દાઓ, શિક્ષણ, આરોગ્ય સહિત આગામી સમયમાં સમૂહલગ્ન યોજવા અંગે ચર્ચા કરાઈ હતી. અબડાસા તાલુકા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અશોકપુરી, મહામંત્રી નારાણગીરી, મંત્રી સુનિલગીરી, ટ્રસ્ટી પ્રવીણગીરી તેરા, રમેશગીરી લખાણિયા, મહેશગીરી ભાચુડા, જીતેન્દ્રગીરી, વડીલો ભીમગિરિ, ખીમગીરી, કિશોરગીરી, ગવરીગીરી, નલિયા પ્રમુખ તુલસીગીરી, અભયગીરી વગેરે હાજર રહ્યા હતા. મહિલા મંડળ દ્વારા રાસ ગરબા યોજાયા હતા. સંચાલન હિરેનગીરી ગોસ્વામી અને આભાર વિધિ મહેશગીરીએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:15 am

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન:લુડવામાં બાબા રામદેવજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

માંડવી તાલુકાના લુડવા ગામે મેઘવંશી ગુર્જર ગરવા સમાજ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા બાબા રામદેવજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ગણપતિ પૂજન, જલયાત્રા, શિખર રોપણ, મૂર્તિ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, શ્રીફળ હોમ, પાટકોરી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે ભોજાયના યક્ષ બૌતેરા ગૌસેવા રામા મંડળે રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર (આખ્યાન) રજૂ કર્યું હતું. તમામ શાસ્ત્રોક્ત વિધિ ખુશાલ મારાજે કરી હતી. આ પ્રસંગે રામદેવજી મહારાજના પગલાં મંદિર ફરાદીના ગાદીપતિ તુંવર દિલીપસિંહ બાપુ, ગઢશીશા અંબેધામના આઈ ચંદુમા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નિર્માણમાં મુખ્ય દાતા રામપર વેકરા હાલે નેરોબી (કેન્યા) નિવાસી શાંતિલાલ વેલજી ભંડેરી તથા તેમના ધર્મપત્ની ધનુબેન શાંતિલાલ ભંડેરીએ 3.51 લાખનું દાન આપ્યું હતું. એમનું સમિતિ દ્વારા સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં લુડવા તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિરના નિર્માણ તથા પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પ્રમુખ નાનજીભાઈ ચાવડા, મંત્રી રમેશભાઈ ગરવા, ખજાનચી દિનેશભાઈ ચાવડા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:15 am

સરહદી સુરક્ષાની સમીક્ષા:IAFના એર માર્શલની નલિયા એરબેઝ ખાતે મુલાકાત

દેશ માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા નલિયા એરફોર્સ સ્ટેશનની ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ હવાઈ કમાન્ડના એર માર્શલ નાગેશ કપૂરે મુલાકાત લીધી હતી. તેઓએ જવાનોને સંબોધિત કર્યા બાદ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે તાલીમ, ટેકનોલોજીકલ એકીકરણ અને નાગરિક લશ્કરી સંપર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. નોંધનીય છે કે કચ્છની સરહદ દેશમાં વાયુસેનાના માટે સૌથી સંવેદનશીલ ઓપરેશનલ ઝોનમાં છે. એર માર્શલ કપૂરે એરમેન અને અધિકારીઓની કામગીરી, શિસ્ત અને સજ્જતાને વખાણી હતી. તેમણે ઓપરેશનલ રેડીનેસની સમીક્ષા કરી અને વિવિધ વ્યૂહાત્મક અભ્યાસો તથા ઇન્ડિયન એર ફોર્સમાં ચાલતી અદ્યતન ટેક્નોલોજી અને ડિજિટલ સિસ્ટમ્સના અપગ્રેડેશન્સવિશે ચર્ચા કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:13 am

તંત્ર દ્વારા નિર્માણમાં વિલંબ:‘વેસ્ટર્ન મોસ્ટ રેલવે સ્ટેશન’નલિયા પ્રવાસી ટ્રેનની રાહમાં

કચ્છના અબડાસા તાલુકાના નલિયા રેલવે સ્ટેશનને 25 વર્ષના સમયગાળા પછી પુનઃ ભારતના વેસ્ટર્ન મોસ્ટ રેલ્વે સ્ટેશનનું બિરુદ પાછું મેળવ્યું છે. પણ આ રેલવે સ્ટેશનથી હજુ સુધી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે. ભૂકંપ પહેલા મીટરગેજ લાઈન વખતે પણ નલિયા વેસ્ટર્ન મોસ્ટ રેલ્વે સ્ટેશન ગણાતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2024માં ભુજ નલિયા રેલ્વે લાઈનને રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ આ રૂટ પર હાલમાં માલવાહક ટ્રેનનું આવાગમન ચાલુ છે. પણ 21 મે 2025ના ઇલેક્ટ્રીક પેસેન્જર ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક થઈ ગઈ હોવા છતાં ગમે તે કારણોસર નલિયા સુધી પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ભુજ સુધી આવતી લાંબા અંતરની ટ્રેનોને નલિયા સુધી લંબાવવા માટે પીટ લાઈનનો અભાવ જેવી કેટલીક ટેકનીકલ મુશ્કેલીઓ કારણભૂત ગણાવાઈ રહી છે. નલિયા સ્ટેશનને પીટ લાઇનનું નિર્માણ જ્યારે થાય ત્યારે ખરું પણ ત્યાં સુધી ગાંધીધામ સુધી સુધીની લોકલ ટ્રેનો ચલાવવા હાલમાં કોઈ મુશ્કેલી નથી. આ રૂટ પર ઇલેટ્રિફીકેશનનું કામ પણ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થઈ ગયું છે. જેથી લોકલ ટ્રેનો શરૂ કરવા લોકોમાં ખૂબ જ લાગણી પ્રવર્તી રહી છે. ભારતની ચાર દિશામાં આવેલા અંતિમ રેલવે મથક નલિયાથી આસામને રેલમાર્ગે જોડતી ‘ભારત જોડો’ ટ્રેન શરૂ થાય તો દેશની એકતા - અંખડિતતા દેખાશેખરેખર તો નલિયાના વેસ્ટર્નમોસ્ટ રેલ્વે સ્ટેશન તરીકેના મહત્વને પીછાણી રેલવે તંત્રે અહીં પી ટલાઈનનું તાત્કાલિક નિર્માણ કરવું જોઇએ. અને ત્યારબાદરી ઇસ્ટર્ન મોસ્ટ રેલવે સ્ટેશન મુર્કીગસેલેક (આસામ) સુધીની સળંગ ટ્રેન દોડાવાયના પ્રયાસો કરવા જોઈએ તેવી રેલ પ્રેમીઓની લાગણી છે. જો ટ્રેન શરૂ થાય તો પશ્ચિમના અરબસાગરથી પૂર્વમાં હિમાલયની તળેટી સુધી ભારત એક રેલમાર્ગથી જોડાઈ જશે. આ માત્ર પ્રવાસીઓને માટે જ નહીં પરંતુ દેશના વિવિધ પ્રાંતો, સંસ્કૃતિઓ અને જનસમુદાયોને એકસૂત્રમાં બાંધવાનો ઐતિહાસિક કદમ સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:08 am

હિટ એન્ડ રન કેસ:ધ્રબમાં પગપાળા જતા વયસ્કનું અજાણ્યા વાહનની હડફેટે મોત

મુન્દ્રા તાલુકાના ઔદ્યોગિક પરા સમાન ધ્રબ મધ્યે ગત રાત્રે બનેલા એક હિટ એન્ડ રનના બનાવમાં પગપાળા જઈ રહેલા વયસ્કને અજાણ્યા વાહને હડફેટે લેતાં તેનું ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસ દફતરેથી હતભાગી મૃતકના પુત્ર ઈશ્વરભાઈ રઈજીભાઈ પરમાર (ઉ.વ.46 રહે ખેડોલ તા કપડવંજ-ખેડા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ બુધવારે ઢળતી સાંજે 6.15 વાગ્યા અરસામાં ધ્રબ સ્થિત પોર્ટ રોડ પર હોટલ ટીજીઆર નજીક બનેલ બનાવમાં રખડતું ભટકતું જીવન જીવતા અને સંસારનો ત્યાગ કરી ચૂકેલા પગપાળા જઈ રહેલા તેમના પિતા નેકોઈ અજાણ્યા વાહને બેદરકારી પૂર્વક હડફેટે લેતાં તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. બનાવને પગલે તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્ર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.પરંતુ ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. મુન્દ્રા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બેદરકારી પૂર્વક વાહન ચલાવી અકસ્માત કરવાનો ગુનો દર્જ કરી તેને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:05 am

ખનીજ ચોરી પર કાર્યવાહી કરાઈ:નિરોણામાં ચાલતી રેતી ચોરી પર ટાસ્ક ફોર્સ અને પ્રાંત દ્વારા દરોડા પાડવામાં આવ્યા

કચ્છમાં ખનીજ ચોર બેફામ બન્યા હોય તેમ અવાર નવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરી ગેરકાયદેસર ખનન ઝડપી લેવામાં આવે છે તેવામાં હવે જિલ્લાની ટાસ્ક ફોર્સ ટીમ અને નખત્રાણા પ્રાંત અધિકારીની સંયુક્ત કાર્યવાહીમાં નિરોણાની નદીમાં થતી રેતી ચોરી પર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એક ટ્રક અને બે લોડર કબ્જે કરવામાં આવ્યા છે. જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા કલેક્ટર દ્વારા ટાસ્ક ફોર્સ ટીમ બનાવવામાં આવી છે.ગુરુવારે નખત્રાણા પ્રાંત અધિકારી અને ટાસ્ક ફોર્સ ટીમે બાતમીને આધારે નિરોણા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.જેમાં ગામની ભરૂડ નદીમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપી લેવામાં આવ્યું છે. સ્થળ પરથી એક ટ્રક તથા બે લોડર કબ્જે કરવામાં આવ્યા છે. ટ્રક નંબર જીજે 09 એવી 9379 જેના ડ્રાઈવર કાસમભાઈ ખાડુ ભીયા રહે. કોટડી જેના માલિક કિશોરભાઈ નારણભાઈ આહિર રહે.નિરોણા,લોડર નંબર જીજે 12 સીએમ 9096 ના માલિક ઇમરાન હુશેન જત રહે.સુમરાસર જેના ડ્રાઇવર ખેતશી મમુભાઈ આહિર રહે.નિરોણા તથા લોડર નંબર જીજે 13 એડી 1261 ના ડ્રાઈવર મુકેશભાઈ જેઠાભાઈ આહિર રહે નિરોણા જેના માલિક પુંજાભાઈ ભીમજીભાઈ આહિર રહે.નિરોણા વાળાઓની તપાસ કરતાં અંદાજીત 44 લાખનું મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સ્થળ પર થયેલ ખાડાઓની માપણી તેમજ આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે અને કબ્જે કરેલો મુદામાલ નિરોણા પોલિસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે,વર્ષ 2024 માં પણ નખત્રાણા પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરી નિરોણા વિસ્તારમાંથી ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.તેવામાં હવે વધુ એક કાર્યવાહી કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:02 am

મોદીનાં સપનાનું ગિફ્ટ સિટી:દેશનું પહેલું ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તમે ના જોયેલો ડ્રોન વ્યૂ, આવતીકાલે 'ગુજરાત બિગ પ્રોજેક્ટ્'માં

GIFT સિટી. દેશનું પહેલું ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી. આ પ્રોજેક્ટ PM નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગાંધીનગરમાં આકાર લઇ રહેલા આ પ્રોજેક્ટમાં દુબઇ-સિંગાપુરને ઝાંખી પાડે એવી બિલ્ડિંગો છે. અહીં ગુગલ, બેંક ઓફ અમેરિકા અને IBMની ઓફિસો છે, અને ડિસ્કો થેક, ક્લબ અને બાર પણ છે. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ગિફ્ટ સિટીનું હૃદય અને મગજ છે. જ્યાં સપનાંની દુનિયા આકાર લઈ રહી છે એ ગિફ્ટ સિટીની અંદરની દુનિયા તમે દિવ્ય ભાસ્કર એપ પર જોઈ શકશો. આવતીકાલે સવારે 6 વાગ્યાથી 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ'માં.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:00 am

AC, ફ્રિજ અને ખુરશીઓ ઓગળી ગઈ, પ્લાસ્ટિકનો રેલો નિતર્યો:દરવાજા કોલસા થયા, બળેલી ઢીંગલી જોઈને ધ્રાસકો પડે; પહેલીવાર જુઓ પ્લેન ક્રેશ સાઇટની અંદરના દૃશ્યો

બપોરના 2 વાગીને 27 મિનિટ થઈ રહી છે. હું અત્યારે એક એવી ખંડેર ઇમારતની અંદર કાટમાળ વચ્ચે ઊભો છું, જે એક સમયે આખા વિશ્વના મીડિયાની હેડલાઇન હતી. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી અતુલ્યમ ઇમારત. જ્યાં 12 જૂનની બપોરે 1 વાગીને 38મી મિનિટે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. જેમાં સવાર 241 લોકોને બચવાનો જરાય મોકો ન મળ્યો. આ હોસ્ટેલમાં રહેતા ડોક્ટર પણ આભમાંથી આવેલી આફતમાં મોતને ભેટ્યા. કુલ મૃત્યુ આંક 260 હતો. એક સમયે ડોક્ટરોનું સરનામું ગણાતી અતુલ્યમ હોસ્ટેલ નામની ચાર ઇમારતની ઓળખ હવે લોકોના મનમાં જ નહીં, ગૂગલ મેપ પર પણ પ્લેન ક્રેશ સાઇટ 171ની બની ચુકી છે. છેલ્લા 6 મહિનામાં આ ઇમારતની અંદર દેશની વિવિધ ઇન્વેસ્ટિગેશન ટીમ અને એવિએશન એક્સપર્ટ તપાસ કરી ચૂક્યા છે. અગાઉ અહીંયાં ઘણા પોલીસ જવાનો 24 કલાક પહેરો ભરતા હતા. હવે થોડા દિવસ પહેલાં જ આ ઇમારતની સુરક્ષા હળવી કરવામાં આવી છે. એટલે હું પરમિશન લઈને મારા સહયોગી રવિ રાજપૂત સાથે ક્રેશ સાઇટ પર પહોંચ્યો. 12 જૂને અમદાવાદ એરપોર્ટથી ઉડેલું પ્લેન સૌથી પહેલાં મેસની ઇમારત સાથે ટકરાયું. ત્યાર બાદ અતુલ્યમ 4, અતુલ્યમ 3, 2 અને 1 એવી રીતે કુલ પાંચ ઇમારતો પર પડ્યું. એટલે મેં પણ ખંડેર બની ચૂકેલી મેસની બિલ્ડિંગથી ક્રેશ સાઇટને જોવાનું નક્કી કર્યું. પ્લેન ક્રેશની ઘટના પછી ઘણા દિવસો સુધી અહીંયાંથી ડેડબોડી કાઢવા તેમજ કાટમાળ ખસેડવાનું કામ ચાલ્યું હતું. હું પણ અહીંયાં રિપોર્ટિંગ માટે વારંવાર આવ્યો. ઘટના સમયે ખૂબ નજીકથી ઘણા દૃશ્યો જોયા હતા. પણ પહેલીવાર ઇમારતની અંદર દાખલ થયો. ક્રેશ સાઇટને ગ્રાફિક્સની મદદથી સમજો. આ કમ્પાઉન્ડમાં મેસ સૌથી છેલ્લે એરપોર્ટ તરફ આવેલી છે. એટલે મેઇન ગેટમાંથી પ્રવેશીને અમે એ તરફ ચાલવા લાગ્યા. કોઈ બાંધકામ માટે મહિનાઓ પહેલાં લાવવામાં આવેલી રેતીના ઢગલા હજુ પણ કમ્પાઉન્ડમાં એમના એમ જ છે. આ જ રેતીના ઢગલા પર કૂદી પડવાથી પ્લેન ક્રેશની ઘટનામાં વિશ્વાસ કુમાર જીવતો રહ્યો હોવાનું માનવામાં આવે છે. આવી તમામ વાતો વિચારતા અમે મેસ સુધી પહોંચી ગયા. મેસની બહાર હજુ પણ બેરિકેડ્સ પડ્યા છે. સહેજ હટાવીને અમે મેસના પગથિયા ચડ્યા. ત્યારે અમારી સાથે આવેલા ભાઈએ જમણી બાજુ ઉપર આંગળી ચીંધીને કહ્યું, “અહિયાં પ્લેનની પૂંછડી ફસાઈ ગઈ હતી.” મેં નજર ઊંચી કરીને જોયું તો એરપોર્ટ તરફની આખી દીવાલ તૂટી ગઈ હતી. પ્લેનનો બધો હિસ્સો તો હટાવી લેવામાં આવ્યો પણ બાંધકામનો કાટમાળ હજુ પણ ત્યાંનો ત્યાં જ પડ્યો હતો. બહાર નીકળેલા સળિયા, ઈંટોનો ઢગલો અને પહેલા માળેથી દેખાતો લીમડો કે જે પ્લેન પડવાથી બુંઠું થઈ ગયું છે એ આ ઘટનાના સાક્ષી હતા. આ જ સમયે પ્લેનનો અવાજ આવ્યો… તુટેલી દીવાલમાંથી બહાર નજર કરી તો એરપોર્ટથી થોડી જ સેકન્ડો પહેલા ટેકઓફ થયેલું પ્લેન દેખાયું, અમે ઊભા હતા એ જ બિલ્ડિંગ પરથી જોતજોતામાં પસાર થઈ ગયું. પ્લેનનો આ અવાજ હજુ પણ એ ભયાનક દિવસની યાદ અપાવી જાય એવો હતો. પ્લેન ક્રેશ થયા બાદ ઘણા વીડિયો સામે આવ્યા હતા. એમાં ભલભલાની આંખ પલાળી નાખે એવો વીડિયો ભોજનની થાળીનો હતો. બપોરનો સમય હતો, ત્યારે જ પ્લેન ક્રેશ થયું અને પ્લેનના કાટમાળ સહિત ઇમારતનો પણ કેટલોક ભાગ જમવા બેસેલા વિદ્યાર્થીઓ પર પડ્યો અને મોતનો કોળિયો બની ગયા. મારી નજર સામે એ જ મેસના ખાલી ટેબલ હતા. હજુ પણ ત્યાં પાણીની બોટલ, વાસણો, વિદ્યાર્થીઓના બૂટ-ચપ્પલ પડ્યા છે. જોઈને લાગે જ નહીં કે પીડાદાયક આ ઘટનાને છ-છ મહિનાના વહાણ વીતી ગયા છે. અમે થોડા આગળ વધ્યાં અને મેસના રસોડામાં પહોંચ્યા. મગજ સુન્ન કરી નાખે એવા દૃશ્યો અમારી નજર સામે હતા. ધૂમાડાથી કાળી પડી ગયેલી દીવાલો, ભયંકર ગરમીના કારણે પંખાની વળી ગયેલી પાંખો, વેરણ-છેરણ અનાજ… કિચનમાં કોઈ સામાન સલામત નહતો રહ્યો. મેસના તૂટેલા કાચમાંથી મેં બહારની તરફ નજર નાખી. સામેની બાજુ અતુલ્યમ-4 ઇમારત હતી. 5 માળની આ બિલ્ડિંગમાં રહેતા ડોક્ટરમાંથી નસીબજોગે જ કોઈ બચી શક્યું હશે. કારણ કે મેસની છત સાથે પૂંછડી ટકરાયા બાદ પ્લેનની ડાબી તરફથી પાંખ અતુલ્યમ-4માં ઘૂસી ગઈ હતી અને પછી સેકન્ડોમાં જ ભયંકર બ્લાસ્ટ થયો હતો. હવે અતુલ્યમ-4ની સ્થિતિ શું છે એ જાણવા માટે અમે મેસમાંથી નીચે ઉતર્યા અને બાજુની ઇમારત તરફ જવા લાગ્યા. નીચે ઉતરતા જ અમને ત્યાંના સિક્યોરિટી ગાર્ડ સંજયભાઈ મળ્યા. વાતવાતમાં બોલ્યા, “હું લગભગ બે વર્ષથી અહીંયાં નોકરી કરું છું. પ્લેન પડ્યું એ પહેલાંનો માહોલ બહુ જ સારો હતો. ઘણા વિદ્યાર્થીઓ અને ડોક્ટરો જમવા આવતા. એ લોકોનો સ્વભાવ એવો હતો કે અમુક લોકો મારા મિત્રો પણ બની ગયા હતા. આ ઘટનામાં એમાંથી ઘણાનો જીવ જતો રહ્યો. હવે આ ખંડેર બિલ્ડિંગ અને સન્નાટા વચ્ચે એ લોકોની ઘણી યાદ આવે છે. મને પણ ગમતું નથી અહીંયાં.” આટલું બોલતા સંજયભાઈ ગળગળા થઈ ગયા. મારી પાસે એમને સાંત્વના આપવા શબ્દો ખૂટી પડ્યા હોય એમ લાગ્યું. ઊંડો શ્વાસ લીધો અને પછી રેતીના ઢગલા પરથી ચાલતા-ચાલતા અમે અતુલ્યમ-4ની નીચે પહોંચ્યા. બિલ્ડિંગની બહાર પાર્કિંગ એરિયામાં સળગેલા ઘણા વાહનો પડ્યા હતા. જૂનમાં બનેલી ઘટના પછી ચોમાસાની સિઝન આવી અને પછી માવઠું પણ પડ્યું. સમયના આ માર સાથે વાહનોને કાટ ચડી ગયો છે. આગની તીવ્રતાનો અંદાજો એ દૃશ્ય પરથી લગાવી શકાય છે કે મોટરસાઇકલના બીડના મેકવ્હીલ ઓગળી ગયા હતા. ટાયર બળી ગયા બાદ એના તાર લટકતા હતા. ટુ વ્હિલર હોય કે ફોર વ્હિલર… એ કઈ કંપનીનું મોડલ હશે એ પણ ઓળખી શકાય એવી સ્થિતિ નથી એ હદે આગમાં સ્વાહા થયા હશે. અમારી સાથે આવેલા ભાઈએ કહ્યું, ઉપર તો હાલત આનાથી પણ વધારે ખરાબ છે. હવે અમે પગથિયા ચડ્યા અને પહેલાં માળે પહોંચ્યા. જ્યાં એક થાંભલા પર લખ્યું હતું… વેલકમ ટુ અવર નેસ્ટ વિધિની વક્રતા તો જુઓ… એક પક્ષીના માળાની માફક જે પોતાના ઘરને શાંતિનું ઠેકાણું સમજતા હતા, ત્યાં હવે ચકલુય ફરકે એવી હાલત નથી. જ્યાં નજર પહોંચે ત્યાં સન્નાટો ભાસે છે. અમે જરા હિંમત કરી અને એક ફ્લેટમાં પ્રવેશ્યા. પહેલી જ નજર ડાયનિંગ ટેબલ અને ખુરસીઓ પર પડી. બધુ જ જાણે કોલસો થઈ ગયું હતું. કિચનનો સામાન વેરવિખેર થઈને કદાચ બ્લાસ્ટના કારણે છેક હોલ સુધી આવી ગયો હોય એમ લાગ્યું. ત્યાંથી નજર હતી તો આંખો સામે સ્તબ્ધ કરી દેતું વધુ એક દૃશ્ય આવ્યું. દીવાલ પર ફિટ કરેલું AC તો બળીને ખાક થઈ ગયું પણ અંદરનું કોપરનું મટિરિયલ લટકતું હતું. મોટાભાગના દરવાજા ઊભા-ઊભા કોલસો થઈ ગયેલા નજરે પડ્યા. એક ઉપર એક ગોઠવેલી પ્લાસ્ટિકની ખુરસીઓ પીગળીને રેલો ગયો હતો. અમે બીજા એક ફ્લેટની અંદર ગયા. ઘરમાં સ્ટીલના વાસણો, મેડિકલ સાયન્સનું સાહિત્ય અને બીજી ઘણી વસ્તુઓ સળગેલી જોવા મળી. એક ઘરની બાલ્કનીમાં લક્ષ્મીજીની આકૃતિવાળો તુલસી ક્યારો જોયો. શુભ ગણાતી તુલસી આગમાં બળી ગઈ અને નિશાની રૂપે માત્ર એક સૂકું ઠુંઠું બાકી રહ્યું હતું. ચોથામાળે આવેલા એક ઘરમાં ગર્ભ સંસ્કાર નામનું પુસ્તક મળ્યું. પુસ્તક તો સલામત હતું પણ આ ઘરની હાલત ખંડેર જેવી થઈ ગઈ હતી. કારણ કે અતુલ્યમની ઇમારતોમાં ઉપલા માળે જ સૌથી વધુ નુકસાની થઈ હતી. પુસ્તક જોતા જ અગાઉ એક વ્યક્તિએ કહેલી વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું, અહીંના એક ઘરમાં ગર્ભવતી મહિલાનું પણ મૃત્યુ થયું હતું. જ્યાં લોખંડના સળિયા પીગળી જાય, વળી જાય, એવી ગરમીમાં હાડમાંસના માણસની શું હાલત થઈ હશે? પ્લેનક્રેશ બાદ લાગેલી આગથી બે પ્રકારની સ્થિતિ પેદા થઈ હશે. જે વસ્તુ આગની ઝપેટમાં આવી એ તો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ જ ગઈ. વળી, જ્યાં આગની જ્વાળા નહીં પહોંચી હોય ત્યાં તેની ગરમી એટલી તીવ્ર રીતે પહોંચી હશે કે ઘણી વસ્તુઓ પીગળી ગઈ. મને યાદ છે, પ્લેન ક્રેશની ઘટનાના તરત પછી અહીં પહોંચેલા ઘણા લોકોના મોબાઇલની બેટરી ગરમીના કારણે ડાઉન થઈ ગઈ હતી. મોબાઇલ પણ સરખી રીતે કામ નહોતા કરી રહ્યા. અમે અતુલ્યમ 4માંથી નીચે ઉતર્યા અને હવે અતુલ્યમ 3માં જવાનું નક્કી કર્યું. આ બધું જોતા મનમાં પ્રશ્નો તો ઘણા ઉઠ્યા જેમ કે અહીં રહેતા ડૉક્ટર્સ અત્યારે ક્યાં હશે? છેલ્લે ક્યારે આવ્યા હશે? એ ફરી પાછા આવશે કે કેમ? અતુલ્યમ 3માં પૂર્વ દિશા તરફથી ઇમારતોનો થોડું ઓછું નુકસાન થયું છે. કારણ કે આ તરફ ઘણા ફ્લેટમાં આગની જ્વાળાઓ પહોંચી નહતી. પરંતુ ભયંકર સ્થિતિ વચ્ચે અહીં રહેતા લોકો કોઈપણ વસ્તુ લીધા વગર દોટ મૂકીને ભાગ્યા હશે. એ સમયે થયેલી અફરાતફરીનો અંદાજો એ વાતથી લગાવી શકો છો કે ઘણા ઘરોમાં સામાન ઠેરનો ઠેર પડ્યો છે. કોઈ લેવા પણ નથી આવ્યું. વાસણો, ઘરવખરીનો બીજો સામાન, પુસ્તકો, પાસપોર્ટ સાઇઝ ફોટો એ વાતના સાક્ષી છે કે સ્થિતિ કેટલી દયનીય હશે. અમે અતુલ્યમ 3ના પશ્ચિમ દિશામાં આવેલા ફ્લેટમાં ગયા, ત્યાં વધુ ભયંકર સ્થિતિ નજરે ચડી. પહેલી જ નજર અર્ધબળેલી ઢીંગલી પર પડી. વિચારવા માટે મજબૂર કરી નાખે એવું દૃશ્ય. આ ઘરમાં સ્વીચબોર્ડ પીગળી ગયા હતા, કિચનમાં રાખેલા પ્લાસ્ટિકના ડબ્બાની હાલત પણ એવી જ હતી. ફ્રિજના દરવાજાનું પતરું ઓગળી ગયું હતું. એક જગ્યાએ દિવાલ પર ગૌતમ બુદ્ધનો સુવિચાર લખ્યો હતો. બાજુમાં એક કબાટમાં વિઘ્નહર્તા ગણપતિની મૂર્તિ પણ એમની એમ જોવા મળી. અમે આગળ વધ્યા. એક દીવાલ પર ડૉક્ટર્સના આઈકાર્ડ લટકતા હતા, ક્યાંક કપડા અને એપ્રોન પણ અમે લટકતા જોયા. ત્યાંથી ધાબા પર ગયા. જ્યાં પાણીની પાઈપો પણ સળગેલી હાલતમાં હતી. અતુલ્યમ 3 બાદ અમે અતુલ્યમ 2 અને 1મા પહોંચ્યા. આ જગ્યાએ નુકસાની ઓછી છે, પણ દુર્ઘટના બાદ આ બે ઇમારતોનો સન્નાટો આંખો પલાળી નાખે એવો છે. કારણ કે જ્યારે જીવ પર આવી પડે ત્યારે માણસ શું છોડે અને શું લઈને જાય. આંખો સામે દરરોજ દેખાતા સાથી મિત્રો, બીજાના જીવ બચાવવા માટે હોસ્પિટલમાં દોડાદોડ કરતા ડૉક્ટર્સે જ્યારે પોતાના સાથીઓને ગૂમાવ્યા પછી અહીં ઘણાએ પોતાનો સામાન લેવા આવવાનો જીવ નહીં ચાલ્યો હોય. બધું ઠેરનું ઠેર છે, જાણે કે દુનિયા થંભી ગઈ હોય. અહીં એક ફ્લેટમાં ડૉક્ટર કે મેડિકલના વિદ્યાર્થીએ મેળવેલા સર્ટિફિકેટ, એવોર્ડ ઠેરના ઠેર પડ્યા છે. કેટલી મહેનતથી મેળવ્યા હશે! હવે બધુ નકામુ બન્યું. એક દીવાલ પર મોરનું સુંદર ચિત્ર જોયું, પ્રિસ્ક્રિપ્શન પેપર પર લખવા ટેવાયેલા હાથે આવી કળા વિચારતા કરી દે એવી કહેવાય! ફ્લેટમાં રાખ વચ્ચે દવાઓની સ્ટ્રીપ્સ પડી હતી અને બાજુમાં જ રમકડાંનો એક રોબોટ હતો. બહાર કોરિડોરમાં આવીએ તો દૂર આગની આંચમાં જરાક બળી ગયેલું ટેડીબિયર દેખાયું. નજીક જઈને જોયું તો તેના પર હજુ પણ પ્રાઇઝ ટેગ હતું. જે બાળક માટે લાવવામાં આવ્યું હશે એ કેટલું રમ્યો હશે રામ જાણે! અમે જોયું કે કોરિડોરમાં એક જગ્યાએ તળિયામાં ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. જેના પરથી ખ્યાલ આવ્યો કે તમામ બિલ્ડિંગસની ફિઝીલીબિટી ચેક કરવાની કામગીરી થઈ છે. એવું પણ સંભળાય છે કે પ્લેનની ટક્કર થયા બાદ લાગેલી આગના કારણે હવે બિલ્ડિંગ રહેવાલાયક નથી રહી. સંભાવના એવી પણ છે કે મેસ અને અતુલ્યમની ચારેય ઇમારતો જમીનદોસ્ત કરવામાં આવી શકે છે. બની શકે કે સરકાર દ્વારા આવનારા દિવસોમાં નિર્ણય લેવાય. પણ અત્યારે તો ખંડર બનેલી આ ઇમારતો 21મી સદીના અતિપીડિદાયક અને ભયંકર દિવસોની સાક્ષી છે. કોંક્રિટનું એક એવું સ્ટ્રક્ચર જ્યાં ગણતરીની મિનિટોમાં 260 લોકોના જીવ જતા રહ્યા. અતુલ્યમ તેના નામ પ્રમાણે હવે ખરેખરમાં એવું સ્થળ બની ગયું છે, જ્યાં બનેલી ગોજારી ઘટનાની કોઈ સાથે તુલના ન થઈ શકે. દિવ્ય ભાસ્કર એ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:00 am

નિર્ભયાના એક જ મહિનામાં સુરતમાં એવો જ રેપ:IPS વિધિ ચૌધરીએ ત્રણ રાજ્ય ફેંદી 24 કલાકમાં બળાત્કારીને પિંજરે પૂર્યો, દ. ગુજરાતની પહેલી ફાંસી

‘ચારેય મજૂરોએ મળી યુવાનને રગદોળ્યો. મારી મારીને અધમૂઓ કરી નાખ્યો ને અંતે બાજુમાંથી દોરી શોધી અર્ધબેભાન પડેલા એ યુવકના હાથ અને પગને કચકચાવીને બાંધી સાઇડમાં ફેંક્યો. એ રાક્ષસો ત્યાં અટક્યા નહીં. એમની નિયત વધુ બગડી. બાજુમાં ડરી ડરીને બેઠેલી એની મંગેતરને પણ ઝપટે લીધી. ચારેય હેવાનોએ વારાફરતી એ પારેવા જેવી યુવતીને પીંખવાનું શરૂ કર્યું. માર ખાઇને પડેલો મંગેતર ફરી ફરીને બચાવવા મથ્યો, પણ ત્રણ-ત્રણ મજૂરો એને મારતા ગયા અને છોકરીનો વારાફરતી રેપ કરતા ગયા. આટલું કર્યા બાદ પણ એમને સંતોષ ન થયો. ચારેયે મળીને યુગલના શરીરે પહેરલાં ઘરેણાં સહિત બધા જ પૈસા લૂંટીને શાંતિથી નીકળી ગયા...’ ધોળેદહાડે માનવતાને શર્મસાર કરતી સત્ય ઘટના વર્ણવી રહ્યાં છે IPS વિધિ ચૌધરી. અમદાવાદ શહેરનાં એડિશનલ કમિશનર, જેઓ હાલ સ્પેશિયલ બ્રાન્ચ સંભાળી રહ્યા છે. આજે મહિલાઓ દરેક ફિલ્ડમાં ઘણી આગળ વધી ચૂકી છે, પણ જો ગુજરાતના IPS બેડાની વાત કરવામાં આવે તો પુરુષોની સામે મહિલાઓનો રેશિયો સાવ નજીવો છે. પરંતુ એ થોડી મહિલાઓ પણ ‘મ્હારી છોરિયાં છોરોં સે કમ હૈ કે?’ એ વાતને સુપેરે સાચી પાડે છે. પોતાની ફરજ બજાવવા ઉપરાંત તેઓ સમાજને સુધારવા માટેની એકપણ તક નથી છોડતા. એવાં જ એક જાંબાઝ મહિલા IPS અધિકારી એટલે વિધિ ચૌધરી. કોઈ ઓફિસર ગુનેગારોને પકડવામાં માહેર હોય છે, તો કોઈ ગુનેગારોને સુધારવામાં, પણ વિધિ ચૌધરી આ બધાની સાથે સમાજ સુધારવામાં અને માણસને ગુનેગાર બનતા રોકવામાં પણ એટલી જ મહારત ધરાવે છે. આજે ‘IPS ડાયરીઝ’માં સમાજસુધારક IPS વિધિ ચૌધરી વાત કરશે એ સમયની…જ્યારે ચાર પરપ્રાંતિઓએ મળી સુરતના બીચ પર યુવતીને પીંખી… 1985માં રાજસ્થાનના નાગોરમાં જન્મેલાં વિધિ ચૌધરી મૂળ સાયન્સનાં સ્ટુડન્ટ, પણ બાદમાં ઇતિહાસ પ્રત્યે ઝુકાવ વધ્યો. ઇતિહાસ વિષય સાથે M.A. થયાં અને પોલીસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. બાદમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી અને જોતજોતામાં UPSC ક્લિયર પણ થઈ ગઈ. 2009માં તેમણે ગુજરાત કેડરથી IPS સર્વિસ શરૂ કરી. ગુજરાતમાં સુરત, પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિત ઘણી જગ્યાએ સર્વિસ કરી ડિસેમ્બર 2024થી તેઓ અમદાવાદનાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. *** ચૌધરી મેડમ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ કયો હતો? IPS વિધિ ચૌધરીએ વાતની શરૂઆત કરી... ‘2013ની વાત છે. ત્યારે હું સુરતમાં ACP તરીકે ફરજ બજાવી રહી હતી અને મારા કરિયરની શરૂઆત જ થઈ હતી. એ વખતે આ કેસ બન્યો હતો. દિવાળીનો સમય હતો. શહેરમાં ઉત્સવનો માહોલ હતો. લોકોને અગવડતા ન અનુભવાય એ માટે પોલીસ વ્યવસ્થામાં લાગી હતી. એ સમયે CP સાહેબનો સુરતના બધા જ IPS માટે નિયમ હતો કે, સવારે 9-10 વાગ્યા સુધીમાં બધાએ કૉલ પર સર સાથે એક મિટીંગ કરી લેવાની, જેમાં આગળના રેગ્યુલર વર્કનો રિપોર્ટ અને પોતાની ટીમને લગતા રોજના ક્રાઇમ વિશે ડિસ્કશન કરવાનું. ભાઇબીજના દિવસે વહેલી સવારે ઊઠીને મેં ન્યૂઝ પેપર ખોલ્યું ત્યાં મારા ધ્યાને રેપનો કેસ આવ્યો. સુરતના ડુમસ બીચ પર ફરવા ગયેલા એક કપલ પર ચાર પરપ્રાંતીયોએ ગંદી રીતે ગેંગ રેપ કર્યો હતો. 9 વાગ્યા ને CP સરનો કોલ આવ્યો. ગઈ કાલની વાત કરી. હું હજુ તો એ કેસ વિશે વાત કરું, એ પહેલાં સરે જ સામેથી મને એ કેસ વિશે વાત કરી અને કહ્યું કે આના પર કામ ચાલુ કરો. દરઅસલ ઘટના એવી બની હતી કે…’ 12 નવેમ્બર, 2013ડુમસ બીચ, સુરતસુરતના મુખ્ય પર્યટન સ્થળ પર ફેસ્ટિવલના કારણે આખો દિવસ લોકોનું કિડિયારું ઊભરાયું હતું. સૂર્યાસ્ત થવાનો ટાઈમ નજીક આવતાં પર્યટકોએ રિટર્ન જવાની શરૂઆત કરી દીધી હતી. બીચ સુંદર, પણ આખા બીચ પર એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતી. એટલે રાત્રે બીચના એરિયામાં એકદમ કાળોડિબાંગ અંધકાર છવાઈ જાય. એમાંય દિવાળીના પછીનો દિવસ એટલે અમાસના કારણે ઘોર અંધારું થઈ જાય. ઉપરથી આવી જગ્યા એટલે કોલેજીયન્સ અને દારૂડિયાઓનો અડ્ડો ન બને એની સાવચેતીરૂપે પોલીસે પહેલેથી સાંજે 6 વાગ્યા પછી ત્યાં રહેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એવામાં ત્યાં એક નવી નવી સગાઈ થયેલું પ્રેમીજોડકું આવ્યું હતું. સગાઈ પછીનો અને લગ્ન પહેલાંનો સમય એટલે પ્રેમનો ઊભરો, પણ રહેવાનું દૂર એટલે બને એટલો ટાઈમ સાથે ગાળવાનો અભરખો હોય તે સમજી શકાય તેવું છે. ડુમ્મસ બીચ પર બંને ફરવા આવ્યાં. આખો દિવસ સાથે ગાળ્યો હતો, પણ નવો નવો પ્રેમ એટલે સાથે વધારે ટાઇમ એકલતામાં પસાર કરવાની લ્હાયમાં રાત્રે અંધારું થઈ ગયા બાદ પણ બંને ત્યાં ને ત્યાં અંધારામાં બેસી રહ્યાં. એવામાં ત્યાંથી પાવરલૂમ સેક્ટરમાં કામ કરતાં ચાર પરપ્રાંતીય મજૂરો નીકળ્યા. અંધારામાં ચાલી ને જતા હતા ત્યાં એકલામાં બેઠેલા આ કપલ પર એમની નજર પડી. મોડી રાત, ખાલી શહેર ને અંધારપટ એટલે ચારેયની નિયત બગડી. આ કપલની નજીક જઈને ચારેયે ગંદી ગંદી કોમેન્ટ્સ શરૂ કરી. એમાં છોકરાનો ઇગો હર્ટ થયો. પોતાની મંગેતરને બચાવવા એ સામે પડ્યો, પણ સામે તો ચારેય મજબૂત મજૂરો. લેપટોપ અને મોબાઈલ પર આંગળીઓ ફેરવતો જુવાન પાવરલૂમનાં મશીનો હેન્ડલ કરતા હાથો સાથે કેમ બાથ ભીડી શકે? ચારેય મજૂરોએ મળી યુવાનને ખરાબ રીતે માર્યો. મારી મારીને અધમૂઓ કરી મૂક્યો ને અંતે બાજુમાંથી દોરી શોધી અર્ધબેભાન પડેલા યુવકના હાથ અને પગને કચકચાવીને બાંધીને એને સાઇડમાં ફેંક્યો. એ ચીંથરેહાલ કપલે ઝૂંપડપટ્ટીમાંથી કપડાં માગ્યાં અને ઘરે ફોન જોડ્યો એ રાક્ષસો ત્યાં અટક્યાં નહીં. એમની નિયત વધુ બગડી. બાજુમાં ડરી ડરીને બેઠેલી મંગેતરને ઝપટે લીધી. ચારેય હેવાનોએ વારાફરતી એ પારેવા જેવી યુવતીને પીંખવાનું શરૂ કર્યું. માર ખાઇને પડેલો મંગેતર ફરી ફરીને એને બચાવવા મથ્યો, પણ ત્રણ-ત્રણ મજૂરો એને મારતા ગયા અને છોકરીનો વારાફરતી રેપ કરતા ગયા. આટલું કર્યા બાદ પણ આ હેવાનોને સંતોષ ન થયો. ચારેયે મળી યુગલનાં શરીરે પહેરેલાં ઘરેણાં સહિત બધાં જ પૈસા લૂંટીને શાંતિથી ત્યાંથી નીકળી ગયા. માહોલ એકદમ શાંત હતો. પ્રતિબંધિત વિસ્તાર હતો એટલે CCTV તો દૂર, કોઈ ચકલુંય ફરકવાવાળું નહીં. એટલે કોઇને આ ભયાનક ઘટનાની ભનક પણ ન આવી અને ચારેય રાક્ષસો ભાગી ગયા. અંદાજે બેએક કલાક સુધી યુવક-યુવતી એમની સાથે થયેલી દુર્ઘટનાથી સ્તબ્ધ થઈ ગયાં હતાં અને શું કરવું? શું બોલવું એ કોઈ વાતનો વિચાર પણ ન કરી શક્યાં. એમનાં તન-મન પર શું વીતી હશે, એ વિચારીને આજે પણ આપણે થથરી ઊઠીએ. અંતે યુવતીએ ઊઠી એના મંગેતરના હાથ-પગ છોડ્યા અને બંને ઘણું રડ્યાં. ઘરે શું કહેવું? કેવી રીતે વાત કરવી? ઘણા પ્રશ્નો હતા, પણ ઘરે વાત કર્યા વિના છૂટકો નહોતો. પરંતુ બંનેનાં કપડાં એ હદે ફાટી ગયાં હતાં કે પહેર્યાં ન પહેર્યાં જેવી હાલત થઈ ગઈ હતી. એ કપડાં પહેરે ઘરે તો દૂર ત્યાં બીચ પરથી બહાર પણ જઈ શકાય એવી હાલત રહી નહોતી. માંડ માંડ ઊભાં થઈ બંને ત્યાં નજીકમાં ઝુંપડપટ્ટી પાસે પહોંચ્યાં. એકાદ ઘરમાં જઈ એમની પાસેથી થોડાં કપડાં લીધા અને પાણી પીધું. એમની પાસેથી જ ઘરે ફોન કરી પરિવારને ત્યાં બોલાવ્યો. થોડી વારમાં પરિવાર આવી જતાં, દવાખાને ભાગ્યાં. ડૉક્ટરે ઈલાજ કરી આપ્યો પણ પોલીસને વાત કરવાનું કહ્યું, તો પરિવારે ના પાડી કે અમારે દીકરીનું નામ ખરાબ થાય એવું નથી કરવું. અંતે ત્યાંથી પણ કોઈ ફરિયાદ ન થઈ. *** ગેંગરેપ, લૂંટ અને માર મારવા છતાં પરિવારે પોલીસ ફરિયાદ ન નોંધાવી આટલી મોટી ઘટના ઘટી, પણ આ બંને યુવક-યુવતીએ કે એમના પરિવારે કોઈ પોલીસ ફરિયાદ જ ન નોંધાવી. સમાજનો ડર! લોકો શું કહેશે અને બધાં મારી દીકરી સામે કેવી નજરે જોશે? એવું વિચારી પરિવાર પોલીસ પાસે જ ન આવ્યો. પરંતુ એ પીડિતનો પાડોશી એક પત્રકાર હતો. પત્રકારને માહિતી મળી એટલે એણે કોઈનાં નામ લીધા વિના આખી ઘટના બીજા દિવસના ન્યૂઝપેપરમાં છાપી દીધી. અમારી પાસે ઘટનાની માહિતી પહોંચી. ગંભીર ઘટના હતી એટલે ગુનેગારો સુધી પહોંચવું જરૂરી હતું. અમે એ ન્યૂઝપેપર સાથે વાત કરી અને કોઈપણ રીતે મનાવી એ પરિવારનો સંપર્ક સાધ્યો. જો પોલીસની રીતે પરિવાર પાસે જઈએ તો એ લોકો એક શબ્દ ન બોલે. એટલે સાદા પરિવેશમાં હું અને સાથે બીજી બે-ત્રણ મહિલા ઓફિસરોને લઈ એમના ઘરે સાંત્વના આપવા ગયાં. ઘરે જઈ પરિવાર સાથે વાત કરી, ધીમે ધીમે એકાદ કલાક બેઠાં તો પરિવારે વાત વાતમાં બધી માહિતી આપી દીધી. ખાતરી થઈ અને ગુનાની જાણકારી મળી એટલે મેં અમારી ઓળખ એમને આપી દીધી અને ફરિયાદ નોંધાવવા મનાવ્યાં. પણ પરિવાર કોઈ કાળે ફરિયાદ કરવા માનવા તૈયાર જ ન થાય. ફરિયાદ ન થાય તો શું થયું આ ગુનેગારોને પકડવા જરૂરી હતા. મારા IPS કરિયરનો સ્વતંત્ર રીતે આ પહેલો કેસ હતો. અંતે મેં CP સર સાથે વાત કરી, સરે મને જ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર બનાવી અને અમે આ કેસમાં સૂઓમોટો દાખલ કરી. સુરતની અને દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી સૂઓમોટો! અને ઇન્વેસ્ટિગેશન શરૂ થયું! પરંતુ આરોપીઓને શોધવા કઈ રીતે? કોઈ CCTV નહીં. કોઈ આઈ વિટનેસ નહીં. રાત્રે ઘોર અંધારામાં ગુનો થયો હતો એટલે વિક્ટિમને પણ કોઈ આરોપીનો સરખો ચહેરો યાદ નહોતો. હું ટીમને લઈ લોકેશન પર પહોંચી અને બધું તપાસવાનું શરૂ કર્યું, બીચથી લઈ બહાર સુધી ત્યાં રહેતા હોય કે ત્યાં કામ કરતાં હોય એ દરેકની પૂછપરછ કરવાની શરૂઆત કરી. સાંજ સુધી બધું ફંફોળ્યું અને પૂછપરછ કરી તો એક કડી મળી. એક રિક્ષાવાળો મળ્યો, જેણે કહ્યું કે, કાલે રાત્રે મેં અહીં ડુમસ બીચ પર ચાર મજૂરને છોડ્યા હતા. મને પણ શંકા ગઈ કે ડુમસ બીચ તો અત્યારે બંધ હોય છે, તો ત્યાં અત્યારે કેમ? પણ હું એવું તો એમને પૂછી ન શકું, એટલે વાત આગળ ન વધી. રિક્ષાવાળાએ કહ્યું કે એ ચાર લોકોને મેં તમે કહેલા ટાઈમના થોડી વાર પહેલાં જ ડુમસ બીચ પર ઉતાર્યા હતા. રાતનો ટાઈમ અને ઉપરથી આ રિક્ષાવાળાની તો પાછળ બેઠા હતા, એટલે એણે પણ કોઇનો ચહેરો તો જોયો નહોતો. એટલે વાત ત્યાં પણ અટકી ગઈ. પણ એની પાસેથી આગળનું લોકેશન મળી ગયું કે, એ લોકો ક્યાંથી આવ્યા હતા. મેં એની જુબાની લેવડાવી. ચારેય આરોપી બિહારી હતા અને લિંબાયતથી અહીં ડુમસ આવ્યા હતા. અમે લિંબાયતથી પૂછપરછ શરૂ કરી. ત્યાં પણ એક ક્લૂ મળ્યો કે એ અહીં બાજુના એક ગલ્લા પર પાણી પીવા ઊભા રહ્યા હતા. અમારી ટીમ ત્યાં પહોંચી અને પૂછપરછ કરી તો એ લોકો ત્યાં પોતાની કંપનીની વાત કરતા હતા. એટલે ખબર પડી કે ચારેયનું કામ પાવરલૂમ ઇન્ડસ્ટ્રીમાં જ હતું. ચારેય બિહારી ત્યાં જ મજૂરી કરતા હતા. બીજી બાજુ, હવે કદાચ એ આરોપી પકડાય તો પણ એમનો આરોપ સાબિત કઈ રીતે કરવો? એ માટે ફોરેન્સિક ટીમને એ પીડિતાને ઘરે મોકલી એ યુવતીને મનાવી એનાં કપડાં પરથી થોડાં ફિંગરપ્રિન્ટ અથવા શરીર પર લાગેલું લોહી અને બીજા હેલ્થકેરના લગતાં ફોરેન્સિક સેમ્પલ લેવામાં આવ્યાં. જેથી આરોપી પકડાય તો વેરિફાય કરી ગુનો સાબિત થઈ શકે. શરૂઆતમાં યુવતી માનવા તૈયાર નહોતી, પણ પછી એને જાણ થઈ કે એને ન્યાય અપાવવા માટે કેસ ઓલરેડી રજિસ્ટર્ડ થઈ ગયો છે, એટલે એને પણ થોડો કોન્ફિડન્સ આવ્યો. આ બધામાં યુવતી, યુવક, રિક્ષાવાળા અને પાણીની બોટલ લીધી એ ગલ્લાવાળો, એ બધા પાસેથી વાત કઢાવી તો ચારેયના શરીરના બાંધા, રંગ, એમની બોલી ને ચહેરાની થોડી થોડી વિગતો તો મળી ચૂકી હતી, પણ એમના સુધી પહોંચવા એ પૂરતી નહોતી. પોલીસની તપાસ ચાલતી હતી. આ બધા વચ્ચે ઉપરવાળાની દયાથી જે રિક્ષાવાળો એ ચારેયને લઈ ડુમસ સુધી આવ્યો હતો, એ રિક્ષાવાળાને એ જ એરિયામાં ચાર દરિંદામાંનો એક દેખાયો. રિક્ષાવાળો ઓળખી ગયો એમને. તરત જ એણે અમને ફોન કર્યો અને માહિતી આપી. અમારા PI સીધા જ દોડીને મારી પાસે આવ્યા કે મેડમ આ એ લોકો જ લાગે છે. અમે ટીમ લઈ ઝડપથી લોકેશન પર પહોંચ્યા અને સાથે એ પીડિત યુવકને પણ રાખ્યો. ‘મેડમ, આ જ છે એ દરિંદો, પકડી લો એને...’ ત્યાં જઇને જોયું તો યુવક તરત જ એ રાક્ષસને ઓળખી ગયો અને બૂમ પડી બેઠો કે, મેડમ આ જ છે એ. અમારા ઓફિસર્સ ગાડીમાંથી ઊતર્યા અને આરોપીને ઝડપી લીધો. અંદર બેસાડી પૂછપરછ શરૂ કરી પણ ભાઈ એક શબ્દ બોલવા તૈયાર નહોતો. બાદમાં આ છોકરો જેવો સામે આવ્યો એટલે ઢીલો પડ્યો અને બધું કબૂલ્યું. બસ પછી તો વાત પૂરી, એણે જ પોતાની સાથેના ચારેય જણા વિશે માહિતી આપી દીધી. પણ હાલમાં એ બધા બહાર હતા એટલે 1-2 દિવસમાં એના સુધી પહોંચી પોલીસે એમને પણ ઝડપી લીધા. યુવતી અને યુવકે પણ એમની ઓળખ કરી લીધી અને મેડિકલ એવિડન્સ પણ મળી ગયા. આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને ઘટનાનાં દોઢ વર્ષ બાદ ચારેયને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી. આરોપીને સજા થઈ ગઈ, ચારેય જેલમાં ગયા. એકાદ વર્ષમાં સુરતથી મારી બદલી પણ થઈ ગઈ. પણ 2015 બાજુ મને સમાચાર મળ્યા કે, આ કેસનો મુખ્ય આરોપી એક અઠવાડિયાના જામીન લઈને ગયો હતો, પણ ત્યાંથી પછી ભાગી ગયો છે. પરત જેલમાં આવ્યો જ નથી. હવે એ ટાઈમે હું સુરતમાં નહોતી, એટલે સુરતના કેસમાં હું કોઈ દખલઅંદાજી ન કરી શકું. પણ આ વાત મને ઘણી ખૂંચી. મેં આ વાત મારા મનમાં રાખી અને સુરત મારું પોસ્ટિંગ થવાની રાહ જોઈ. જોતજોતાંમાં બે-ત્રણ વર્ષમાં જ 2018માં મારું પોસ્ટિંગ ફરી સુરતમાં થયું, આ વખતે DCP તરીકે. બસ, મારા એક ટાર્ગેટમાં એ કેસ યાદ જ હતો. મેં ફરી મારી રીતે તપાસ ચાલુ કરાવી અને થોડા જ દિવસોમાં એને શોધી લીધો. એ ભાઈ તો ત્યારે એનો આખો વેશ બદલીને IIT, ખડગપુરમાં પટ્ટાવાળાની જોબમાં લાગી ગયો હતો. અમે એને ફરી પકડ્યો અને વધુ સજા સાથે જેલમાં નાખ્યો. *** આટલું જ નહીં, મહિલાઓનો કેસ આવે ત્યારે કોઈ સામાજિક અત્યાચાર થાય ત્યારે વિધિ ચૌધરી સૌથી આગળ હોય છે. 2018માં જ્યારે તેઓ સુરતમાં DCP તરીકે ફરજ બજાવતાં હતાં ત્યારે ફરી એક એવો જ કિસ્સો બન્યો...જ્યારે સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરીનો કોઇએ રેપ કરી લાશ પોટલામાં બાંધી મૂકી દીધી…વિધિ મેડમે એ થથરાવી મૂકે તેવા કેસની વાત શરૂ કરી *** સાંજના 7:30 વાગ્યાનો સમય 15 ઓકટોબર, 2018ગોડાદરા, સુરતબે-ત્રણ મહિના પહેલાં જ મહારાષ્ટ્રથી સુરતમાં રહેવા આવેલો મરાઠી પરિવાર ખુશીથી જીવન વિતાવતો હતો. ચાર-પાંચ વર્ષ પહેલાં લગ્ન થયેલાં પતિ-પત્ની ને સાથે બે દીકરી અને એક દીકરો સુરતની સોમેશ્વર પાર્ક સોસાયટીમાં સુખેથી જીવી રહ્યાં હતાં. એમાં એક દિવસની વાત. રોજની જેમ આજે પણ ઘરના મોભી નારાયણભાઈ ઘરે આવ્યા એટલે ત્રણેય બાળકો એમને વળગી પડ્યાં ને રમતો ચાલુ થઈ. એવામાં પત્નીએ યાદ કરાવ્યું કે, ‘મી કાય મ્હણતે? વો લોન કે પૈસે ભરને કી ડેટ આ રહી હૈ, જરા વક્ત હો તો દે કર આઓ ના.’ નારાયણભાઈને થયું કે, ફ્રી છું તો ચલો આપતો જ આવું. મોટી 6 વર્ષની દીકરી પપ્પા માટે પાણી લેવા ગઈ, ત્યાં પિતાએ સાડા ત્રણ વર્ષની દીકરીને ખોળામાંથી નીચે ઉતારી અને ઘોડિયામાં સૂતેલા ચાર માસના દીકરાના કપાળે ચુંબન કરી નીકળવાની તૈયારી કરી. ત્યાં મોટી દીકરી પાણી લઈને આવી. પાણી પીધું અને નીકળવાની તૈયારી કરી એટલી વારમાં વચલી ફરી ગળે વળગી પડી કે મારે પણ સાથે આવવું છે. હવે આટલી રાત્રે વરસાદી વાતાવરણમાં ડીંડોલી સુધી એ દીકરીને કેમ લઈ જવી એટલે નારાયણભાઈએ 5 રૂપિયા આપી દીકરીને મનાવી અને ઘરેથી એકલા નીકળ્યા. અડધો કલાક થયો, પણ દીકરી ઘરે પાછી જ નહોતી આવી એક કલાક પછી, 8:30 PM વાગ્યે નારાયણભાઈ ઘરે પાછા આવી ગયા. પત્ની રસોઈ તૈયાર કરતી હતી. મોટી દીકરી વાંચવા બેઠી હતી અને નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો, પણ વચલી દીકરી ન દેખાઈ. પત્ની દિપીકાબેનને પૂછ્યું,‘દીકરી ક્યાં ગઈ?’‘તમે પાંચ રૂપિયા આપીને ગયા હતા તો થોડી વાર પહેલાં કંઈક નાસ્તો લેવા ગઈ છે.’ દીકરીની મા બોલી.‘કેટલા વાગ્યે ગઈ હતી?’‘આઠેક વાગ્યે ગઈ હતી’નારાયણભાઈએ ઘડિયાળમાં જોયું, ‘હેં? 8 વાગ્યે? સાડા આઠ થયા. અડધા કલાકથી હજુ પાછી નથી આવી? દુકાન તો સામે જ છે. હું જોતો આવું.’બહાર જઈ જોયું તો ત્યાં કોઈ નહીં. આજુબાજુ તપાસ કરી તો ત્યાં પણ કોઈ નહીં. શેરીમાં પૂછ્યું, તો ત્યાં પણ કોઈએ દીકરીને જોઈ નહોતી. નારાયણભાઈ હવે હાંફળા ફાંફળા થયા. પત્નીને પણ ઘરેથી બોલાવી, દીકરીને શોધવાનું ચાલુ કર્યું. આજુબાજુનો આખો વિસ્તાર ફંફોળી માર્યો. પણ દીકરી ક્યાંય મળે નહીં. એકાદ કલાક સુધી શોધખોળ કરી પણ દીકરી મળી નહિ, એટલે વધુ ચિંતા થઈ. પરિવારનો છેલ્લો આશરો હતો પોલીસ. નારાયણભાઈ પોલીસ સ્ટેશને ભાગ્યા અને ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશને હાજર માણસો થોડી જ વારમાં એમના ઘરે પહોંચ્યા અને તપાસ કરાવી. થોડી વાર સર્ચ ઓપરેશન કર્યું પણ બાળકી ક્યાંય મળી નહીં એટલે અપહરણની શંકા ગઈ. મોડી રાત્રે મને ફોન આવ્યો કે, મેડમ આવી ઘટના બની છે. જેવી જાણ થઈ એટલે હું રાત્રે જ ત્યાં લોકેશન પર જવા નીકળી. રસ્તામાં મારા બેસ્ટ ઓફિસર્સને પણ જાણ કરી બોલાવી લીધા, અને ઘટનાસ્થળે હાજર જવાનો પાસેથી ડિટેલ્સમાં માહિતી મેળવી લીધી. અભેરાઈ પર પ્લાસ્ટિકનો કોથળો હતો, જેના પર લોહીના તાજા ડાઘ હતા લોકેશન પર જઈ ત્યાંના તપાસના બધા રિપોર્ટ લીધા અને ચેક કર્યું, પણ છોકરી ભાગી હોય એવું કશું જ મળ્યું નહિ. એટલામાં મારા ધ્યાને આવ્યું કે ત્યાં નારાયણભાઈ જ્યાં પહેલા માળે રહેતા હતા એ ઘરના નીચેના રૂમમાં નીચેના એક દરવાજે તાળું મારેલું છે. નારાયણભાઈને પૂછ્યું તો ખબર પડી કે, અહીં મકાનમાલિકનો ભાણેજ સન્ની રહે છે, પણ એ તો 15 દિવસથી અહીં હાજર નથી એટલે એનો મિત્ર થોડા દિવસથી રહે છે. આજે સવારથી ઘરે જ હતો, પણ અત્યારે બહાર ગયો લાગે છે. ફોન કરી પૂછપરછ કરાવી, પણ કોઈ જવાબ ન મળ્યો. મને વધુ શંકા ગઈ, એટલે મેં તાળું તોડાવ્યું અને અંદર તપાસ કરાવી. નાનકડું ઘર હતું, એટલે તપાસતાં વાર ન લાગી. આખું ઘર ફંફોળી પોલીસ જવાનો મારી પાસે આવ્યા કે, ‘કશું નથી મળ્યું.’ મેં PI સી. આર. જાદવને મોકલ્યા કે, જાઓ તો તમે એકવાર નજર નાખતા આવો. PI જેવા અંદર ગયા, બે જ મિનિટમાં બૂમ પડી,‘મેડમ, જલદી અંદર આવો!’ જે રીતનો અવાજ હતો, કશુંક અજુગતું થવાની આશ હતી, હું ભાગીને અંદર ગઈ. PIની નજર રૂમના માળિયા (અભરાઈ) પર હતી. માળિયામાં એક પ્લાસ્ટિકનો પીળા કલરનો નાનકડો કોથળો પડ્યો હતો, જેમાં લોહીના ડાઘ દેખાતા હતા, એ પણ તાજા અને ભીના! અમારી સૌથી ભયાનક શંકા સાચી પડી. એ કોથળામાં દીકરીની લાશ હતી. મેં તરત જ ફોરેન્સિક ટીમને બોલાવી અને ત્યાંથી બધું ઇન્વેસ્ટિગેશન અને પુરાવા એકત્ર કરાવડાવ્યા. દીકરી તો મળી ગઈ, પણ કઈ હાલતમાં? લાશ! કિડનેપિંગની શંકા હતી એ મર્ડરમાં ફેરવાઈ. હજુ વાત એટલેથી અટકે એમ નહોતી. ફોરેન્સિક રિપોર્ટ વધુ હેરાન કરવાનો હતો. બીજા દિવસે જ ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ જોઈને મારા પગ નીચેથી જ જમીન સરકી ગઈ. કેમ કે ફક્ત સાડા ત્રણ વર્ષની બાળકી પર ગંદી રીતે બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. રિપોર્ટ વાંચતાંવેંત જ મારી આંખો ભીની થઈ ગઈ. નક્કી કર્યું કે કોઈ પણ કાળે આ હેવાન આરોપીને જલદીથી જલદી પકડીશું. ત્યાં સુધીમાં એ આરોપીનો રિપોર્ટ પણ આવી ગયો. નામ હતું અનીલ યાદવ. મૂળ બિહારનો. રાત સુધી ઘરે હાજર જ હતો, પણ દીકરી ખોવાઈ એ પછીથી ત્યાં તાળું મરેલું હતું. જેવી લાશ મળી એટલે ત્યાં સોસાયટીમાં રહેતા લોકોએ નિવેદન પણ આપ્યાં, જેના પરથી અનિલ પર શંકા દૃઢ થઈ. *** દીકરીને ફોસલાવીને એ હેવાન ઘરની અંદર લઈ ગયો અને... ઘટના એવી ઘટી હતી કે, ‘દીકરીને પૈસા મળતાં એ નાસ્તો લેવા નીચે જતી હતી, પણ હજુ આગળ વધે એ પહેલાં ત્યાં દરવાજા પાસે ઊભેલા 20 વર્ષીય રાક્ષસ અનિલે એની સાથે વાત ચાલુ કરી. થોડી વાર સુધી ફોસલાવી વાતો કરતો રહ્યો. છોકરી એને ઓળખતી જ હતી, કેમ કે નીચેના ઘરમાં જ રહેતો હતો. વાતવાતમાં દીકરીને ઘરની અંદર બોલાવી અને મોઢું રૂંધી ગંદી રીતે દીકરીનો રેપ કર્યો. એટલેથી ન અટકી અનિલે એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું. બાદમાં લાગ્યું કે, જો આ જીવતી રહેશે તો બહાર જઈ બધાને મારું નામ આપી દેશે. એટલે ગળું દબાવી માસૂમ દીકરીને મારી નાખી. લાશ પ્લાસ્ટિકની કોથળીમાં ભરી ચોકડીની ઉપરના માળિયામાં ચડાવી અને ઘરે તાળું મારી પોતે ભાગી ગયો. *** એ નરાધમ ઘરમાં અંડરવેર પહેરીને પડ્યો હતો નારાયણભાઈની બાજુમાં જ રહેતા શ્યામનારાયણ પાંડે અમારી પાસે આવ્યા. એમણે માહિતી આપી કે, ‘નારાયણભાઈ હપ્તો ભરી ઘરે આવ્યા પછી એમની દીકરી નહોતી મળતી, એટલે અમે પણ સાથે શોધવા મંડી પડ્યા હતા. એમાં શોધતો શોધતો હું અનિલના ઘરે પણ ગયો હતો, પણ અનિલ ચડ્ડી પહેરીને સૂતો હતો. હું ખીજાયો પણ ખરો કે, અહીં નારાયણની દીકરી ખોવાઈ ગઈ છે અને તું સૂતો છે? તો એ નફ્ફટે મોઢે કહી દીધું કે, ‘મેરેકો નીંદ આ રહી હૈ, મુજે સોને દો.’ એમ કહી દરવાજો બંધ કરી દીધો. એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો.’ સોસાયટીમાં જ રહેતી 19 વર્ષની બીજી એક યુવતીએ પણ પોલીસને વાત કરી, ‘શોધખોળ ચાલુ કરી ત્યારે મેં પણ અનિલનો દરવાજો ખખડાવ્યો હતો. અનિલે અડધો જ દરવાજો ખોલી તોછડાઈથી કહ્યું કે, ‘ક્યા હૈ? મેરેકો નીંદ આ રહી હૈ.’ હું હજુ વધુ પૂછવાની હતી પણ એ નફ્ફટ અનિલ ખાલી અંડરવેર પહેરીને આંટો મારતો હતો. એટલે વધુ કોઈ વાત કરવાને બદલે હું નીકળી ગઈ હતી. દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી ફાંસી અનિલ આરોપી હતો એ નક્કી થઈ ચૂક્યું હતું, અમે તપાસ વધુ મજબૂત રીતે શરૂ કરી. એક ટીમને મેં અનિલનો ડેટા કઢાવવા માટે લગાવી અને બીજી ટીમને ટેક્નિકલ મદદ માટે. થોડા જ કલાકોમાં બંને બાજુથી જે રિપોર્ટ આવ્યા એ પરથી કેસ આસાનીથી સોલ્વ થઈ ગયો. અનિલના સબંધીઓ, એની નોકરીની જગ્યા, બધે જ તાપસ કરી. ખબર પડી કે, અનિલ મૂળ બિહારના બક્સરનો છે અને અહીં કારખાનામાં જોબ કરે છે. કારખાનામાં તપાસ કરી તો અનિલનું કેરેક્ટર સર્ટિફિકેટ મળ્યું. બીજી બાજુ અનિલના ફોટોગ્રાફ્સ તો મળી જ ગયા હતા. એના પરથી સોસાયટીથી આજુબાજુના વિસ્તારના CCTV તપાસવાનું શરૂ કર્યું. CCTV ફૂટેજની ચકાસણી પરથી ખબર પડી કે અનિલ રેલવે સ્ટેશન બાજુ જ ગયો છે. સામે ટેક્નિકલ ટીમને અનિલનો મોબાઈલ નંબર આપ્યો હતો, ત્યાંથી પણ રિપોર્ટ આવ્યો કે, છેલ્લો ફોન એણે બક્સર કર્યો છે અને છેલ્લું લોકેશન રાજસ્થાનના એક ગામડા પાસેની એક નદીનું બતાવે છે. બધી કડી એકબીજા સાથે જોડાતી હતી. ક્લિયર હતું કે, અનિલ મૂળ બક્સરનો છે, છેલ્લો ફોન પણ ત્યાં કર્યો હતો, અને જ્યાં સિમકાર્ડનું છેલ્લું લોકેશન બતાવે છે, એ રસ્તો સુરતથી બક્સરના રેલવે ટ્રેકનો છે. મતલબ કે, અનિલ ગુનો કરી ત્યાં જવા નીકળી ગયો છે. મેં ક્રાઇમ બ્રાન્ચના બેસ્ટ ઓફિસરોની ટીમ બનાવી અને એમને તાત્કાલિક ધોરણે પ્લેનમાં બિહાર મોકલ્યા. ત્યાંની લોકલ પોલીસ સાથે વાત કરી એમનો સપોર્ટ લીધો અને બક્સર પહોંચી ગયા. અનિલ ઘરે જ હતો, ત્યાંથી જ ધરપકડ કરી અને અનિલને લઈ સુરત આવ્યા. હું ખુદ મહેનતે લાગી, ટીમ અને PP સાથે મળી થોડા દિવસોમાં જ મોટી અને ઇનડિટેઈલ ચાર્જશીટ બનાવી કોર્ટમાં રજૂ કરી. જોતજોતાંમાં એક-બે મહિનામાં જ કેસનો ચુકાદો આવી ગયો અને અમારી મહેનત લેખે લાગી, અનિલ યાદવને ફાંસીની સજા થઈ. સુરત અને દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી ફાંસી!

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:00 am

GWIL મુખ્ય પાઈપ લાઈનમાં તિરાડો પડવાથી પરેશાની:વીજ તંત્રના વાંકે શહેરને 8 કલાક નર્મદાનું પાણી ન મળ્યું

અંજારમાં અને ભુજમાં પી.જી.વી.સી.એલ.એ શિયાળની ઋતુનો લાભ લઈને મરંમતની તક જડપી લીધી છે. પરંતુ, એથી નર્મદાના પાણીના પમ્પિંગના અભાવે પાણી વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે, જેથી નગરપાલિકાને ઘરોઘર નળ વાટે પાણી પહોંચાડવામાં ભારે તકલીફ પડી રહી છે. ભુજમાં શહેરીજનોને પીવાનું પાણી સ્થાનિક સ્રોતમાંથી પૂરું પાડી નથી શકાતું. શિયાળામાં દૈનિક 35 એમ.એલ.ડી. એટલે કે 350 લાખ લિટર પાણીની જરૂરિયાત જી.ડબ્લ્યુ.આઈ.એલ. દ્વારા નર્મદાના નીર આપીને પૂરી કરાય છે. ક્યારેક નગરપાલિકાની પાઈપ લાઈન તો ક્યારેક જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાય છે, જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે. અધૂરામાં પૂરું વીજ પ્રવાહ બંધ થાય ત્યારે પમ્પિંગના અભાવે પાણી આગળ ધકેલી નથી શકાતું. છેલ્લા 15 દિવસમાં 525 એમ.એલ.ડી.ની જરૂરિયાત સામે માત્ર 356 એમ.એલ.ડી. પાણી મળ્યું છે! આમ, 169 એમ.એલ.ડી.ની ઘટ એટલે કે 1690 લાખ લિટરની ઘટ સર્જાઈ છે. શિયાળામાં પંખા, એ/સી બંધ રહેતા હોય એનો લાભ લઈને પી.જી.વી.સી.એલ. દ્વારા શનિવારે મરંમતનું કામ કરાયું હતું, જેથી વીજ પ્રવાહ બંધ રહ્યો હતો. જેના કારણે સવારે 10 વાગ્યાથી રાત્રે 1.30 વાગ્યા સુધી નર્મદાના નીર અંજારથી કુકમા સમ્પે પહોંચી નહોતા શક્યા. એવી જ રીતે ગઈકાલ ગુરુવારે સવારથી વીજ પ્રવાહ બંધ થયો અને સાંજે શરૂ થયો હતો, જેથી પાણી આગળ ધકેલી નહોતા શકાયા. સૂત્રોના જણાવ્યા મુજબ વારંવાર વીજ પ્રવાહ બંધ થવાથી આડઅસર રૂપે જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની મુખ્ય પાઈપ લઈનોમાં તિરાડો પડવા લાગી છે, જેથી એની મરંમતમાં પણ પાણી બંધ થઈ જાય છે. હા, વીજ પ્રવાહ ન મળતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ : ચેરમેનભુજ નગરપાલિકાની વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજય ઠક્કરે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, પાણીને અંજારથી ભુજીયા સમ્પે લઈ આવવા માટે પમ્પિંગ કરવું પડે. એના માટે વીજ પ્રવાહની જરૂર પડે. પરંતુ, પી.જી.વી.સી.એલ. શિયાળામાં મરંમતનું કામ કરે છે, જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. જોકે, શિયાળો છે એટલે લોકોનો વપરાશ ઘટી જતા લોકોની બહુ ફરિયાદો આવતી નથી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:59 am

ધારાસભ્યના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળની રજૂઆત:કચ્છના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલવા મુખ્યમંત્રીની હૈયાધારણ

કચ્છના વર્ષો જુના જમીન મહેસુલના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર ખાતે ભુજ ધારાસભ્યની આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળે કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાળ ઉકેલ આણવા ઉચ્ચ અધિકારી કક્ષાએ સૂચના આપી હતી. ધારાસભ્ય કેશુભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ક્રેડાઇના પ્રવીણ પિંડોરિયા, ચેમ્બર ઓફ કોમર્સના અનિલ ગોર, ગોપાલ ગોરસિયા, બાલકૃષ્ણ મોતા અને જગત વ્યાસ એ રજુઆત મુખ્યત્વે જમીન માપણી વધારવા, નવી જૂની શરત સહિતની રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું કે મહેસુલ તંત્ર દ્વારા કચ્છમાં જમીન માપણી અગાઉ 1962થી 1967 સુધી માત્ર પાંચ વર્ષ માટે થઈ હતી, માપણી વધારવા માટે કિસાનો રજૂઆત કરતા રહ્યા છે પણ દાયકાઓથી વિસંગતતાઓ રહી ગઈ છે જે નિવારવી જરૂરી છે. તે રીતે નવી જૂની શરત તબદીલીને લગતા મામલે રજૂઆત સમજ્યા બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારી અવંતિકા જી અને મહેસુલ સચિવ જયંતિ રવિને પણ વાકેફ કરતા મહેસુલ સચિવે કચ્છના કલેક્ટરને મહેસુલી મુદ્દે અભ્યાસ કરીને નિર્ણય માટે પ્રક્રિયાની સૂચના આપી હતી. જરૂર પડયે માપણી તેમજ અન્ય જટિલ મુદ્દે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાની ટીમ મોકલવાની પણ હૈયાધારણ આપતા પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:58 am

સિટી એન્કર:ધાણેટીમાં બાવળિયા નીચે બેસી કોમેન્ટ્રી કરતા યુવાનનો અવાજ હવે શ્રીલંકામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ગુંજશે

તાલુકાના ધાણેટી ગામમાં રહેતા દિવ્યાંગ યુવાન પ્રવીણભાઈ સામજીભાઈ માતાએ ગામમાં બાવળિયા નીચે બેસી નિજાનંદ માટે શરૂ કરેલી કોમેન્ટ્રીએ તેને આંતરરાષ્ટ્રીય સફર સુધી પહોચાડ્યો છે. આગામી જાન્યુઆરી મહિનામાં શ્રીલંકામાં યોજાનાર ભારત-શ્રીલંકાની દિવ્યાંગ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધ પારા ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા કોમેન્ટર તરીકે તેની પસંદગી કરવામાં આવી છે. વાત છે ધાણેટી ગામના 35 વર્ષીય દિવ્યાંગ યુવાન પ્રવીણભાઈ સામજીભાઈ માતા(આહીર)ની. આમ તો દસેક વર્ષની ઉમરથી જ પોતાની બોલવાની આગવી છટાથી લોકોને પ્રભાવિત કરનાર યુવાને વર્ષ 2014 થી ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરવાની શરૂઆત કરી હતી. ધાણેટી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી મેચ દરમિયાન પોતાના ગુરુ હીરજી મેક્સ સાથે બાવળના ઝાડ નીચે બેસી કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આસપાસના ગામોમાં યોજાતી ટુર્નામેન્ટમાં પણ દિવ્યાંગ યુવાનને કોમેન્ટ્રી માટે આમંત્રિત કરવામાં આવતો હતો અને પોતાના અવાજ અને રમુજી શૈલીથી લોકોના હદયમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારે હવે આ દિવ્યાંગ યુવાનની પીસીસીઆઈ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં કોમેન્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે અને આગામી 2 થી 6 જાન્યુઆરીના શ્રીલંકામાં યોજાનાર દિવ્યાંગ વન-ડે ક્રિકેટ મેચમાં તેનું અવાજ ગુંજશે. ધ પારા ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાએ પસંદગી લેટર આપતા ગામના બાવળિયાથી અંતરરાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગ યુવાન પહોચ્યો છે. ગત મહીને ગુજરાતના બેસ્ટ કોમેન્ટેટર તરીકે સન્માનમાત્ર ક્રિકેટ મેચ નહિ પરંતુ ગામમાં યોજાતી અન્ય રમતોમાં પણ આ દિવ્યાંગ યુવાન પોતાની સેવા આપે છે. આ ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પણ પોતાની આગવી છટાથી સ્ટેજ સંચાલન કરે છે. જેનું ગત મહીને જ ગુજરાતના બેસ્ટ કોમેન્ટરોમાં સન્માન થયું હતું. જેની હવે ભારત દેશમાંથી શ્રીલંકા વન-ડે મેચ માટે એકમાત્ર કોમેન્ટર તરીકે પસંદગી થઇ છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:57 am

લાલોના ગીત પર દ્વારકાધીશના મંદિરમાં REEL!:ખેડૂતોની સામે જીગીશા પટેલના મોઢામાંથી એક શબ્દ નિકળી ગયો, પછી જોયા જેવી થઈ

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:55 am

દત્ત જયંતી રજત ઉત્સવ ઉજવાયો:કચ્છના સર્વોચ્ચ સ્થાન કાળા ડુંગર પર દત્ત જયંતીએ ઇતિહાસમાં પ્રથમ વખત ‘મહારાસ’

કચ્છની પશ્ચિમ સરહદ સાચવતા કાળા ડુંગર પર પવિત્ર દત્તાત્રેય તીર્થધામ પર દત્ત જયંતી રજત ઉત્સવ ઉજવાયો અને ઇતિહાસ પણ રચાઈ ગયો, કારણ કે ૧૧૧૧ બહેનોએ પ્રથમ વખત આ સ્થાને મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે યોજાયેલા દત્ત ઉત્સવમાં ધાર્મિક શ્રધ્ધા, સામાજિક સંગઠન, સમરસતા તથા દેશ ભકિત અને રાષ્ટ્રીય એકતાના ભાવથી આયોજન કરાયું હતું. કાર્યક્રમોમાં સવારે હવન-યજ્ઞ, મહા પ્રસાદ બાદમાં ધર્મસભાનું આયોજન કરાયું હતું. મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માન.સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેશીયાએ સરહદી સુરક્ષા, સામાજિક સમરસતા અને ધર્મ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ સોનલ લાલજી મહારાજએ નારી સશક્તિકરણ અને સરહદ સહિતના વિષય પર ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું. શ્રી દત્ત જન્મોત્સવ અને મહાઆરતી બાદ ઇતિહાસમાં પહેલી વખત ૧૧૧૧ બહેનો દ્વારા મહારાસનું વિશિષ્ટ આયોજન કરાયું હતું. અગ્રણીઓમાં ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, પી.એમ. જાડેજા અને જિ.પં પ્રમુખ જનકસિંહ જાડેજા. સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા, સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત સંયોજક જીવણભાઈ આહીર, કચ્છ વિભાગના સંઘચાલક હિંમતસિંહ વસણ, જેન્તીભાઇ નાથાણી, નારણભાઇ વેલાણી, હીરાલાલભાઈ રાજદે સહીત જોડાયા હતા. દત્ત વિકાસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ તન્ના, મંત્રી પંકજભાઈ રાજદે, સંયોજક પ્રવીણભાઈ પુજારા, સહસંયોજક દિનેશભાઇ ગજજર, સીમા જાગરણ મંચ પશ્ચિમ કચ્છના સંયોજક રાજેશભાઈ જોષી સહીત દરેક કાર્યકર્તાઓએ રજત જયંતીના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. { ઉત્સવમાં સંગઠન, સમરસતા તથા દેશ ભકિત જોવા મળ્યા

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:54 am

વનવિભાગની કાર્યવાહી:વાંસકુઈમાં 1.50 ઘન મીટર ખેરના લાકડાંની વિભાગે 2 લાખના લાકડાં સાથે વાહનો કબજે

વ્યારા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ખેરના લાકડાં ભરાઈ રહ્યા હોવાની બાતમી વન વિભાગને મળતા જ વ્યારા વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મળેલી માહિતીના આધારે વન વિભાગના અધિકારીઓ તથા સ્ટાફની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સ્થળ પર છાનબીન કરતા અંદાજિત બે લાખ રૂપિયામાં મૂલ્યવાન એવા 1.50 ઘન મીટર ખેરના લાકડાનો 2 લાખનો જથ્થો મળી આવ્યો હતો. સાથે સ્થળ પરથી એક ટેમ્પો, એક ક્વોલિશ ગાડી, એક મોટરસાયકલ કબજે લેવાઈ હતી. વ્યારા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાં શંકાસ્પદ ગેરકાયદે ખેરના લાકડાં ભરવાની હકીકત વન વિભાગને મળેલી ચોક્કસ બાતમી બાદ બહાર આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ વ્યારા વનવિભાગને ગુપ્ત સૂત્રો મારફતે જાણ થઈ હતી કે વિસ્તારમાં ખેરના મૂલ્યવાન લાકડાં કાપીને વાહનમાં ભરી પરિવહન કરવાની તૈયારી ચાલી રહી છે. બાતમી મળતા જ વ્યારા વનવિભાગના અધિકારીઓ તથા સ્ટાફની વિશેષ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ટીમે વાંસકુઈ ગામની સીમ વિસ્તારમાં રેડ પાડી હતી. સ્થળ પર પહોચતા જ છાનબીન દરમિયાન 1.50 ઘન મીટર જેટલું ખેરનું લાકડું મળી આવ્યું હતું, જેને અંદાજિત બે લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતા હોવાનું વન અધિકારીઓએ જણાવ્યું હતું. સાથે જ લાકડાં ભરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રણ વાહનો, એક ટેમ્પો, એક ક્વોલિસ કાર તથા એક મોટરસાયકલપણ સ્થળ પરથી જ કબજે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ લાકડું ગેરરીતિથી કાપીને વેચાણ માટે લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી હતી.વન વિભાગે કબજે કરાયેલા લાકડાં અને વાહનોને સીલ કરતાં વધુ તપાસ શરૂ કરી છે. ઘટનામાં સામેલ વ્યક્તિઓની ઓળખ અને ગેરકાયદેસર કટાઈ પાછળના નેટવર્ક અંગે તપાસ ચાલુ છે. વન વિભાગે આપી માહિતી મુજબ, કુદરતી સંસાધનોના રક્ષણ માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. ગુનામાં સંડવાયેલા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:40 am

રમત ગમતમાં સિદ્ધિ:વ્યારા કન્યા વિદ્યાલય રાજ્ય ખોખો ટુર્નામેન્ટમાં પાંચમી વાર ચેમ્પિયન

અમરેલી મુકામે યોજાયેલી રાજ્ય કક્ષાની શાળાકીય ખોખો ટુર્નામેન્ટ (U-19)માં વ્યારાની કે.કે. કદમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ચેમ્પિયનશિપ ટ્રોફી પર કબજો જમાવ્યો છે. શાળાએ આ પ્રતિષ્ઠિત ખિતાબ સતત પાંચમી વખત જીત્યો છે, આ તમામ ખેલાડીઓ ટૂંક સમયમાં મધ્યપ્રદેશ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની ખોખો સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થિનીઓના આ ભવ્ય પ્રદર્શન બદલ ર.ફ. દાબુ કેળવણી મંડળના સંચાલકો, શાળાના આચાર્ય, કોચ સુનીલ બી. મિસ્ત્રી તથા મેનેજર સહિત શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા . રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ | શાળાની અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓએ રાજ્ય તેમજ રાષ્ટ્રીય ટીમોમાં સ્થાન મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. બરફ ઉર્મિલા પિન્ટુભાઈ, પટેલ કૃષ્ણા કમલેશભાઈ, ગામીત શ્રેયા વિજયભાઈ, બાબુલ સુસ્મિતા, પવાર રોશની રમેશભાઈ, મકવાણા બંસરી સુરેશભાઈ.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:39 am

એજન્ટોની મધ્યસ્થી હટતાં ખેડૂતોને થયો આર્થિક લાભ‎:વ્યારા સુગરમાં શેરડીની સીધી ખરીદીથી ખેડૂતોનું શોષણ અટક્યું

વર્ષો સુધી વ્યારા સુગર ફેક્ટરી બંધ રહેતા શેરડી ઉત્પાદકો આર્થિક સંકટમાં મુકાયા હતા. એજન્ટોના માધ્યમથી શેરડીનો ભાવ માત્ર રૂ. 1500 થી 1800 જેટલો મળતો હતો, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. હાલમાં વ્યારા સુગરના અધ્યક્ષ માનસિંહભાઈ પટેલ દ્વારા અપનાવવામાં આવેલી સીધી ખરીદીની નીતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. એજન્ટોની મધ્યસ્થી દૂર કરી, ખેડૂતો પાસેથી સીધી શેરડીની ખરીદીથી શોષણ અટક્યું છે. પારદર્શિતાને લીધે વધ્યો વિશ્વાસ ખેડૂત સમાજે જણાવ્યું કે પારદર્શક પ્રક્રિયા, વાજબી કિંમતો અને સિસ્ટમમાં ઉભો થયેલો વિશ્વાસ આ ત્રણેય તત્વોએ ઉત્પાદકોમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. માનસિંહભાઈએ સાચા અર્થમાં ખેડૂત કલ્યાણ ને પ્રાથમિકતા આપી છે, અને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળે તે માટે સુગર ફેક્ટરીની ટીમની કામગીરી પ્રશંસનીય છે. ખેડૂતો સાથે મૈત્રિની નિતીઆ નીતિને કારણે વિસ્તારના કૃષિ વિકાસને નવો વેગ મળ્યો છે. તાપી જિલ્લાના ખેડૂતોએ જાહેર વિનંતી કરી છે કે ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિમાં એજન્ટોને શેરડી ન આપવી, પરંતુ ફક્ત વ્યારા સુગર ફેક્ટરીમાં જ તેનો પુરવઠો કરવો, જેથી પારદર્શિતા અને વાજબી ભાવની પ્રક્રિયા સતત ચાલુ રહે. ખેડૂત સમાજે અંતમાં આશા વ્યક્ત કરી કે માનસિંહભાઈ આગળ પણ આવી જ ખેડૂત-મૈત્રી નીતિઓ દ્વારા કૃષિ વિકાસમાં આગેવાની કરતા રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:38 am

ભાસ્કર વિશેષ:24 કલાક ખુલ્લી રહેતી લાઇબ્રેરીએ વર્ષમાં 12 છાત્રોને અપાવી સરકારી નોકરી‎

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું માત્ર ત્રણેક હજારથી ઓછી વસ્તી ધરાવતું ઉમરવાવદૂર-ગારપાણી જૂથ ગ્રામપંચાયતનું ગામ આજે શૈક્ષણિક ક્રાંતિનું પ્રેરણાસ્ત્રોત બન્યું છે. કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઘરઆંગણે સુવિધા મળી રહે તે માટે યુવાનો દ્વારા શરૂ કરાયેલી એક નાનકડી લાઇબ્રેરીએ ઇતિહાસ રચ્યો છે. અધિકારીઓએ વિઝિટ કરી પુસ્તકો અર્પણ કર્યા‎આ નાનકડી લાઇબ્રેરીમાંથી માત્ર એક જ વર્ષમાં ધો. 6 થી 12 સુધીના 9 વિદ્યાર્થીઓએ શિક્ષકની નોકરી મેળવી છે, જે તાપી જિલ્લામાં એક મોટો કિર્તીમાન છે. આ સિવાય ચાલુ વર્ષે અન્ય 3 વિદ્યાર્થીઓએ બેંક અને માર્ગ-મકાન જેવી સરકારી શાખાઓમાં પણ નોકરી મેળવી છે. આ લાઇબ્રેરી ગ્રામજનોની સુવિધા માટે ચોવીસ કલાક ખુલ્લી રહે છે. આ નાનકડા ગામની લાઇબ્રેરીની સિદ્ધિની નોંધ ઉચ્ચ અધિકારીઓએ પણ લીધી છે. તાપીના પૂર્વ DDO અને નિવૃત્ત કમિશનર IAS ડી.ડી. કાપડિયા, પશ્ચિમ રેલવે અધિકારી, IAS રાજેશ ચૌધરી, TDO વિશાલ પટેલ, યુવા PSI કિરણ પાડવી અને PSI પિંકલ ચૌધરીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી મોટિવેશનલ માર્ગદર્શન આપ્યું હતું અને સાથે સાથે અભ્યાસ માટે પુસ્તકોના સેટ પણ ભેટ આપ્યા હતા. હાલ લાઇબ્રેરીમાં 250થી વધુ વિવિધ પુસ્તકો ઉપલબ્ધ છે. અધિકારીઓએ વિઝિટ કરી પુસ્તકો અર્પણ કર્યાલાઇબ્રેરીના સંચાલક ડૉ. રોશન ચૌધરીએ જણાવ્યું હતું કે, અંતરિયાળ ગામમાં લાઇબ્રેરી શરૂ કરવી અને તેને સફળતાપૂર્વક ચલાવવી એ કપરી કામગીરી હતી. તેમણે મિત્ર જતીન ચૌધરી સાથે ચર્ચા કરી મજબૂત ઇરાદાથી કેટલાક યુવામિત્રોને જોડી આ કાર્ય ઉપાડ્યું. અન્ય ગામોના છાત્રો પણ તૈયારી માટે અહીં આવે છેઆસપાસના ગામના વિદ્યાર્થીઓને ખબર પડતાં તેઓ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અહીં આવવા લાગ્યા. સંચાલકોના મતે, અહીં તૈયારી કરનારા 80% વિદ્યાર્થીઓને સફળતા મળી છે. લાઇબ્રેરીમાં 25 વિદ્યાર્થીઓ અલગથી બેસી વાંચી શકે તે માટે ટેબલ-ખુરશીની ઉત્તમ વ્યવસ્થા છે અને ખુલ્લા વાતાવરણમાં ઝાડ નીચે બેસીને પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:35 am

ડાંગરની ચોરી:વાંસદા પોલીસનું નાઈટ પેટ્રોલિંગ નિષ્ફળ, ડાંગરનો પાક ચોરાતાં ધરતીપુત્રો ચિંતિત

વાંસદા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાના સંકેતો મળી રહ્યા છે. ચાપલધરા વિસ્તારના એક ખેડૂતના ખેતરમાંથી તૈયાર ડાંગર પાકની 20 ગુણ (અંદાજે 70 મણ)ની ચોરી થતાં સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. ખેડૂતોમાં ચર્ચા છે કે, પોલીસ માત્ર ‘નાઈટ પેટ્રોલિંગ'ના નામે કાગળ પર કામગીરી બતાવી રહી છે, જ્યારે હકીકતમાં ચોર તત્ત્વોને છૂટો દોર મળી ગયો છે. ચાપલધરા દોડિયા ફળિયામાં રહેતા અને ખેતી તેમજ વકીલાત દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશસિંહ ચંદ્રસિંહ ચૌહાણની માલિકીની જમીન (બ્લોક/સર્વે નં.605) પરથી આ ચોરીનો બનાવ બન્યો છે. તેમણે આ વર્ષે પોતાની જમીનમાં ડાંગરનો પાક લીધો હતો. પાક તૈયાર થઈ જતાં તેમણે તેના દાણા છૂટા કરીને આશરે 70 મણ જેટલો પાક રૂ. 35 હજાર 20 ગુણમાં ભરીને 30 નવેમ્બરના રોજ ખેતરમાં ઢાંકીને મૂક્યો હતો. જ્યારે દિનેશસિંહ ચૌહાણ 4 ડિસેમ્બરના રોજ સવારે 8 કલાકે ખેતરે ગયા ત્યારે ખેતરમાં મૂકેલી ડાંગરની એક પણ ગુણ ત્યાં હાજર નહતી. કોઈક અજાણ્યા તત્ત્વોએ રાત્રિના અંધારામાં આ તૈયાર પાકની ચોરી કરી લીધી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ખેડૂતે વાંસદા પોલીસ મથકે ચોર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. આ ચોરીના બનાવ બાદ સ્થાનિક ખેડૂત આલમમાં વાંસદા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ માત્ર દેખાડા પૂરતી જ કરાતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસ આ ફરિયાદને ગંભીરતાથી લઈને રાત્રિ પેટ્રોલિંગની નિષ્ક્રિયતા સુધારશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યું. હવે પહેરો ભરવાની નોબતહાલમાં શિયાળાની ઋતુ હોય ઠંડીને કારણે ખેડૂતો પણ તેમના ખેતરમાં જવા ખૂબ ઓછો સમય આપી રહ્યાં છે. ત્યારે તસ્કરો પેધા પડતા ખેડૂતોનો ઉભો પાક ચોરી જવાની ઘટના બાદ રાત્રિ પેટ્રોલિંગ પોલીસ કરશે કે પછી ખેડૂતો જ રાત્રિના સમયે પહેરો ભરશે. તેવી પણ ચર્ચા વાંસદા પંથકમાં થઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:32 am

ગંભીર અકસ્માત સર્જાયો:નવસારીમાં બુલેટ ચાલકે સગીરાને અડફેટે લેતા ગંભીર ઇજા

નવસારીના ટેકનિકલ શાળા પાસેથી પસાર થતી 17 વર્ષીય સગીરાને બુલેટ ચાલકે અડફેટે લેતા ઇજા પહોંચી હતી. વાહન ચાલક સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. નવસારીમાં 24 નવેમ્બરના રોજ સાંજે 5.30 વાગ્યાના અરસામાં અજયભાઈ મહેતાની 17 વર્ષીય દીકરી ભક્તિ રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે નવસારી ટેકનિકલ સ્કૂલ પાસે સીટી સેન્ટરની સામે બુલેટ (નં. GJ-21-DD-7611)નો ચાલક વત્સલ પોતાની બુલેટને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આવ્યો અને ભક્તિને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભક્તિ રોડ પર પટકાઇ હતી, આ ઘટનાને પગલે તેને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર અર્થે ખસેડવામાં આવતા સગીરાને ડાબા હાથની કોણીના ભાગે તેમજ ડાબા પગના ઘૂંટણની નીચેના ભાગે ફ્રેકચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે અહેકો યાકુબભાઇ માપ્યાભાઇ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:31 am

એલ્ગાર પરિષદ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ પ્રોફેસર હનીબાબુને જામીન

5 વર્ષથી જેલમાં હતા, હજુ આરોપો પણ ઘડાયા નથી સુપ્રીમમાં અપીલ માટે આદેશ પર સ્ટેની એનઆઈએની માંગ ફગાવાઈઃ યુએન રિલિજયસ ફ્રીડમ રીપોર્ટમાં બાબુના કેસનો ઉલ્લેખ મુંબઈ - હાઈ-પ્રોફાઇલ એલ્ગાર પરિષદ કેસમાં આરોપી, દિલ્હી યુનિવસટીના ભૂતપૂર્વ એસોસિયેટ પ્રોફેસર હની બાબુને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ વિના પાંચ વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહેવાના આધારે જામીન આપ્યા હતા. આ વર્ષે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કેસની સુનાવણી પૂર્ણ કરનાર જસ્ટિસ એએસ ગડકરી અને આરઆર ભોંસલેની ડિવિઝન બેન્ચે ગુરુવારે બાબુને મુક્ત કરવાનો અને એટલી જ રકમની શ્યોરિટી સાથે એક લાખ રૃપિયાના વ્યક્તિગત બોન્ડ ભરવાનો આદેશ આપ્યો.

ગુજરાત સમાચાર 5 Dec 2025 5:30 am

અજગરનું રેસ્ક્યૂ:પૂણી ગામે માછલી પકડવાની જાળમાં ફરાયેલા અજગરનું રેસ્ક્યુ

નવસારીના પુણી ગામે માછલી પકડવાની જાળમાં મહાકાય અજગર ફસાઈ જતા તેને વન વિભાગની હાજરીમાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારીના સદસ્યોએ રેસ્ક્યુ કર્યો હતો. નવસારીના પુણી ગામે આજે એક અનોખી ઘટના સામે આવી છે. ખેડૂતના ખેતરમાં માછલી પકડવા માટે નાંખવામાં આવેલી જાળમાં એક અજગર ફસાયેલો મળ્યો હોવાની માહિતી મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલાની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સ્વયંસેવકો પાર્થ પટેલ, સાગર પટેલ અને સાવન દ્વારા વન વિભાગના અધિકારી નવલ રાઠોડની હાજરીમાં અત્યંત સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર અજગરની વિગતવાર ચકાસણી બાદ તેની ઉપર જરૂરી સર્જરી હાથ ધરવાની શક્યતા છે. અજગર શિડ્યુલ-1માં આવતી અત્યંત સંરક્ષિત પ્રજાતિ છેવાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતાએ જણાવ્યું કે આ સાપ ભારતીય અજગર હોવાની પુષ્ટિ થઈ છે, જે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ પ્રમાણે શિડ્યુલ-1માં આવતી અત્યંત સંરક્ષિત પ્રજાતિ છે. રેસ્ક્યુ દરમિયાન અજગરના શરીર પર મોટી સંખ્યામાં જીવાતો લાગેલા જોવા મળતા તેને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:28 am

ખુદીરામ બોઝની જન્મ જયંતી ઉજવાઈ:વઘઇમાં સ્વાતંત્ર સેનાની ખુદીરામ બોઝની 136મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ

ભારત માતાને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવા માટે માત્ર 18 વર્ષની ઉંમરે પોતાના જીવનનું બલિદાન આપનારા સૌથી નાના સ્વાતંત્ર્ય સેનાની ખુદીરામ બોઝની 136મી જન્મજયંતીનું આયોજન ડાંગના વઘઈ તાલુકામાં આવેલ યોગી અરુણાનંદ મુનિ આનંદ આશ્રમ ખુદીરામ ફાઉન્ડેશન ઉખાટિયામાં કરાયું હતું. આ કાર્યક્રમ આનંદ આશ્રમના યોગગુરુ ડો. યોગી અરુણાનંદ મુનિના માર્ગદર્શન હેઠળ આનંદ આશ્રમ ડાંગ અને ખુદીરામ ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક અને માધ્યમિક આશ્રમ શાળા શિવારીમાળમાં 260થી વધુ વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આચાર્ય પિયુષ ભાઈ સહિત સમગ્ર શિક્ષણ સ્ટાફ હાજર રહ્યો હતો. બાળકોને ખુદીરામ બોઝની પ્રેરણાદાયી જીવનકથાનો પરિચય કરાવ્યો અને ભગવદ ગીતાના શ્લોકો વાંચવા પ્રોત્સાહિત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:25 am

રિક્ષા એસોસિએશન‎ની રજૂઆત:નવસારી-વિજલપોર રિક્ષા એસો.ની મનપા કમિશનરને રિક્ષા સ્ટેન્ડ ફાળવવા અનુરોધ

નવસારી-વિજલપોર ઓટો રિક્ષા એસોસિએશનના હોદ્દેદારોએ નવસારી મનપાના કમિશનરને આપેલ અરજીમાં જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી નવસારીમાં રિક્ષાઓ માટે નવા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા નથી. નવસારીને મનપા જાહેર કરાયા બાદ શહેરમાં ફરતી રિક્ષાઓ માટે જૂના રીક્ષા સ્ટેન્ડ મંજૂર કરવા તેમજ અમુક નવા સ્ટેન્ડ ફાળવાય તો રિક્ષાઓ રસ્તા પર ઊભી રહેતી ઓછી થાય, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી શકે. એસોસિએશન દ્વારા અગાઉ પણ ટ્રાફિક વિભાગમાં સ્ટેન્ડ માટે અરજી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા બન્યા બાદ આમાં સુધારો કરવાની જરૂરિયાત જણાતાં કમિશનરને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેસીને નવા અને જૂના રિક્ષા સ્ટેન્ડ પાછા ફાળવે. હાલમાં મનપામાં 8 ગામોનો સમાવેશ કરાયો છે. ભાસ્કર ઇન્સાઇડ‎જૂના સ્ટેન્ડ 28 હતા‎નવસારી ઓટો રિક્ષા સ્ટેન્ડના પ્રમુખ રાકેશભાઇ પટેલના જણાવ્યા મુજબ નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ રસ્તા પહોળા થયા અને વિકાસના કામો થયા બાદ ઘણા રિક્ષા સ્ટેન્ડ ખોવાયા છે. સ્ટેશન પાસે, બસ સ્ટેશન પાસે પણ રિક્ષા સ્ટેન્ડ મૂકવા જગ્યા નથી. જેથી અમે જૂના સ્ટેન્ડ 28 હતા તેમા વધારો કરી 36 રિક્ષા સ્ટેન્ડની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:23 am

દબાણો હટાવી સર્વિસ રોડ પહોળા કરવાની જરૂર‎ પડી:પૂર્ણા બ્રિજ બંધ થતા જ ટ્રાફિકનું ભારણ ગ્રીડ તરફ વળ્યું, વાહન ચાલકો પરેશાન

નવસારી શહેરમાં પૂર્ણા નદી પરનો મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ થતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. હાલમાં તમામ ભારે વાહનોનું ભારણ ગ્રીડ ચાર રસ્તા વિસ્તાર તરફ વળ્યું છે, જેના કારણે દિવસ દરમિયાન અહીં સતત ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણોને યુદ્ધના ધોરણે દૂર કરીને રસ્તાઓને પહોળા કરવા જોઈએ. નવસારી ગ્રીડ હાઈવે આસપાસ સર્વિસ રસ્તા પહોળા થવાથી વાહનોનો પ્રવાહ સરળ બનશે અને ગ્રીડ ચાર રસ્તા પરનું ભારણ પણ હળવું થશે. લાંબા ગાળે મનપાએ રસ્તાઓનું રીસરફેસિંગ કરીને તેની ગુણવત્તા સુધારવી અને પૂર્ણા નદીના બ્રિજ પરના ભારણને કાયમી ધોરણે ઓછું કરવા વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પૂર્ણા બ્રિજ 8માસથી બંધ છે ગંભીરા બ્રીજ તૂટ્યા બાદ સરકારે જિલ્લાના બ્રિજની મજબૂતાઈ માપવા માટે નિરીક્ષણ કર્યા બાદ હરકતમાં આવી પૂર્ણા નદીનો બ્રિજ ભારે વાહનો ઉપયોગ ન કરે તે માટે 8 માસથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેને લઇ આ દબાણ ગ્રીડ પર ન આવે તે માટે મનપા ગ્રીડ પરના દબાણો દૂર કરે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:22 am

ઘરફોડ ચોરીનો બનાવ:પરિવાર સુરતમાં ખમણ વેચવા ગયો ને‎તસ્કરો 1.46 લાખની મતા ચોરી પલાયન‎

નવસારીમાં રાત્રિના સમયે ચોરીની ઘટના અટકાવવા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી રહી છે પણ તસ્કરો ધોળા દિવસે બંધ ઘરમાં ધાપ મારી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સુરતમાં ખમણની લારી ચલાવતા દંપતીના ઘરે દિનદહાડે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. નવસારીના શાંતાદેવી રોડ પર રહેતા ઘનશ્યામ વશરામભાઈ સરડવા (ઉ.વ. 64)એ માહિતી આપતા જણાવ્યું કે તેઓ શિવધારા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રૂમ નંબર-303માં રહે છે. તેઓ પત્ની સાથે સુરતમાં ખમણની લારી ચલાવે છે. સવારે પાંચ વાગ્યે સુરત પત્ની સાથે જાય છે અને સાંજે પાંચ વાગ્યે ઘરે આવે છે. તા. 29 નવેમ્બરના રોજ તેઓ રાબેતા મુજબ સુરત ગયા હતા. ઘરે સાંજે આવતા જોયું તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરનો કબાટ પણ તૂટેલી હાલતમાં હતો. કબાટમાં તપાસ કરતાં 4 નંગ (2 જોડી) સોનાની બુટ્ટી આશરે વજન 20થી 25 ગ્રામ રૂ.1.35 લાખ, બે ચાંદીની કડલીઓ વજન 10 ગ્રામ રૂ. 1500 અને રોકડા રૂ. 10 હજાર મળી રૂ. 1,46,500 મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ધંધાકીય કામમાં રોકાયેલા હોવાથી જે તે દિવસે ફરિયાદ આપી નહતી. જો કે તે દિવસે કામ હોય ચોરીમાં કઈ કઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય તેની ખરાઇ કરી પોલીસમાં તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ ટાઉન પોલીસમાં પણ તપાસ એલસીબીને નવસારીમાં શિયાળાની ઋતુની શરૂઆતમાં જ તસ્કરો સક્રિય થયા છે અને શાંતાદેવી રોડ ભરચક વિસ્તારમાં દિનદહાડે ત્રીજા માળેથી ચોરીની ઘટના બની હતી. જેને લઇ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ હાલ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે. હજુ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કવોર્ડની તપાસ બાકી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:20 am

નવસારી મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું‎:મલ્ટીપરપઝ નવો ઓડિટોરિયમ ખાનગી પાર્ટીને ચલાવવા અપાશે

નવસારીમાં 55 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ મલ્ટી પર્પઝ ઓડિટોરિયમ મનપા હવે ખાનગી પાર્ટીને ચલાવવા આપશે. અગાઉ પાલિકા હતી ત્યારે નવસારીમાં તીઘરા વિસ્તાર નજીક અંદાજે 55 કરોડથી વધુના ખર્ચે ઓડિટોરિયમ બનાવવાનો નિર્ણય લીધો હતો,જેનું કામ પૂર્ણ થતા હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મલ્ટી પર્પઝ ઓડિટોરિયમમાં ટાઉન હોલ ઉપરાંત બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ, એમ્પી થિયેટર પણ છે. હવે મળતી માહિતી મુજબ મનપાએ આ ઓડિટોરિયમ ખાનગી પાર્ટીને ચલાવવા આપવાનો નિર્ણય કર્યો છે અને તે માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે.એવું પણ જાણવા મળ્યું છે કે મનપા મહત્તમ ભાડું કેટલું લઈ શકે તે પણ જણાવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:19 am

સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં પાર્કિંગની જગ્યાએ જપ્ત કરેલો ભંગાર:લુન્સીકુઇના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓનું પાર્કિંગ બન્યું સ્ટોરરૂમ

નવસારીના લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ અને મુલાકાતીઓની સુવિધા માટે બનાવેલું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરાયેલા વાહનો અને લારીઓનું ‘ગોડાઉન' બની ગયું છે, જેના કારણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરવા આવતા સેંકડો ખેલાડીઓ માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. મનપાના દબાણ ખાતા દ્વારા ટ્રાફિક અને ફૂટપાથ પરથી જપ્ત કરવામાં આવેલા વાહનોને પાર્કિંગની જગ્યામાં મૂકવામાં આવે છે. તેના પરિણામે ખેલાડીઓ અને તેમના વાલીઓને પોતાના વાહનો પાર્ક કરવા માટે જગ્યા મળતી નથી. તેમને અનિવાર્યપણે પોતાના સ્કૂટર, બાઇક અને કાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર મુખ્ય માર્ગ પર અથવા આસપાસની ગલીઓમાં મૂકવા પડે છે. બહારના રસ્તાઓ પર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક જામની સમસ્યા વધે છે અને વાહનો ચોરાઈ જવાનો અથવા નુકસાન થવાનો ભય પણ રહે છે. આ પાર્કિંગ સુવિધા રમતવીરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી પરંતુ તેના મૂળ હેતુનો ભંગ થઈ રહ્યો છે. ખેલાડીઓ અને સ્થાનિકોની માગણી છે કે મનપા દ્વારા જપ્ત કરાયેલા વાહનોને તાત્કાલિક અન્ય વૈકલ્પિક સ્થળે ખસેડવામાં આવે, જેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ખેલાડીઓ માટે પુનઃસ્થાપિત કરી શકાય. આનાથી રમતગમતની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:19 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:નવસારીના લુન્સીકૂઇ મેદાનમાં મનપા દ્વારા ખોદાયેલ ખાડા પુરાયા

વસારી શહેરના હાર્દસમાન અને નાગરિકો માટે હરવા-ફરવાના મુખ્ય સ્થળ ગણાતા લુન્સીકૂઇ મેદાનની બદતર હાલત સુધારવા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલના પગલે નવસારી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે મેદાનના ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ગત સપ્તાહે શૌચાલય બનાવવા માટે લુન્સીકૂઇ મેદાનમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું અને એક વૃક્ષને પણ કાપી નાખવામાં આવ્યું હતું. જેનો સ્થાનિક ખેલપ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોના રોષને જોતા મનપાએ કામગીરી તો તાત્કાલિક અસરથી અટકાવી દીધી હતી, પરંતુ ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી ન હતી, જેના કારણે ખાડામાં કોઇ પડી જવાનો ભય રહેતો હતો. જેને લઇને દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ મનપા હરકતમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે ખાડા પુરી જમીન સમતળ કરી હતી. જોકે, મેદાનમાં કરચો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:18 am

રોડમાં મટિરિયલ હલકી કક્ષાનું વાપરવાનો આક્ષેપ‎ મૂકાયો:છરવાડામાં રસ્તાના કામમાં ગેરરીતિની રાવ

વલસાડના છરવાડા ગામમાં રસ્તાનનુ કામ અધૂરું અને વેઠ ઉતારવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે તપાસ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવા દાદ માગી છે. વલસાડના છરવાડા ગામના ભરાડિયા ફળિયા મેઇ્ન રોડથી શૈલેષભાઇ પટેલના ઘર સુધી રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ રસ્તાના કામમાં પંચાયત અ્ને કોન્ટ્રાક્ટરના મેળાપીપણાંમાં વેઠ ઉતારવા અ્ને અધુરું કામ હોવાની રાવ કરવામાં આવી છે. હલ્કી કક્ષાની ગુણવત્તાથી રસ્તો ખરાબ થઇ જવા અને અધુરું કામ હોવાની રાવ સરપંચને કરતાં પૈસા પૂરાં થઇ ગયા છે આવશે એટલે બનાવીશું તેમ કહી કોન્ટ્રાકટરને પૂછી લેજો એમ કહ્યું હતુ. કોન્ટ્રાકટરને પૂછતાં ગામ શેરીના રસ્તા આ પ્રકારના બને છે તેવું જણાવ્યું હતું. જેથી અરજદારે યોગ્ય જવાબ ન મળવાની રાવ કરી અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા દાદ માગી છે. આ અંગે સરપંચને રજૂઆત કરવા છતાં પ્રતિસાદ મળતો ન હોવાની રાવ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:14 am

દારૂ ઝડપાયો:મોહનગામથી ટેમ્પામાં લઈ જવાતો 15.60 લાખનો દારૂ ઝડપાયો

મોહનગામ ચેકપોસ્ટ પર 4થી ડિસેમ્બરે ભીલાડ પોલીસે બાતમીના આધારે દમણથી પ્લાસ્ટિકનાં દાણામાં દારૂ ભરી આવતા ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. 15.60 લાખના દારૂ સાથે કુલ્લે 3242186નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બામણ પૂજાથી મોહનગામ હાઈવે પર શિખંડી ચેકપોસ્ટ પર ભીલાડ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો આવતા તેની તલાસી લીધી હતી. ટેમ્પામાં પ્લાસ્ટિકનાં દાણાની 409 બેગ જેની કિંમત રૂ.681686માં દારૂનાં બોક્ષ નંગ 100માં 1200 બોટલ કિંમત રૂ.1560000નો દારૂ મળી આવ્યો હતો. ટેમ્પા ચાલક જેકી રમેશ ટંડેલ (રે, કુંતા કુંતેશ્વર મંદિર, વાપી)ની અટક કરી એક મોબાઈલ કિંમત રૂ.500 મળી કુલ્લે રૂ.3242186નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. દારૂ ભરાવનાર યશ માહ્યાવંશીને ભીલાડ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:12 am

આગ લાગી:ના દાદરા દેમણી રોડ પર કંપનીમાં આગથી અફરા તફરી

દાદરા દેમણી રોડ પર આવેલ અક્ષત ફાયબર કંપનીમા સવારે કોઈક કારણસર આગ લાગી હતી આ આગને જોતા કંપનીમા કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. બાદમા કંપની સંચાલકે ફાયર વિભાગને ફોન કરતા સેલવાસ અને ખાનવેલની ફાયરની ટીમ પોહચી એક કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાની જાણ થતા દાદરા પોલીસની ટીમ પણ પોહચી ગઈ હતી. તપાસમા જાણવા મળ્યુ કે કંપનીમા ધાગાના વેસ્ટેજમા આગ પકડી લીધી હતી આ ઘટનામા કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:12 am

ભાસ્કર એક્સક્લુસિવ:ધો-10માં નાપાસ છાત્રાને 11માં પ્રવેશ આપી 12 સુધી અભ્યાસ કરાવ્યો પછી કહે ‘આ ભૂલ છે’

વાંસદા તાલુકાની માધ્યમિક ગ્રામશાળા પ્રતાપનગરના સંચાલકોની ગંભીર બેદરકારી બહાર આવી છે. મળતી માહિતી મુજબ શાળાની એક વિદ્યાર્થિની ધોરણ-10માં નાપાસ થયા છતાં નિયમોના ઉલ્લંઘન સાથે તેને ધોરણ-11માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થિની ધોરણ-11માં પાસ થતાં તેને ધોરણ-12માં પણ એડમિશન મળ્યું હતું. વિદ્યાર્થિની ધોરણ-12ની પ્રથમ આંતરિક પરીક્ષા પણ સફળતાપૂર્વક આપી ચૂકી હતી પરંતુ ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનું ફોર્મ ભરવાનું શરૂ થતા જ શાળા સંચાલકોને પોતાની ગંભીર ખામીની જાણ થઈ. પરિણામે વિદ્યાર્થીનીને સ્કૂલે આવવા મનાઈ કરીને તેની હાજરી બંધ કરી દેવામાં આવી હતી. આ અચાનક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થિની અને પરિવાર પર માનસિક આંચકો સર્જાયો છે. સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ સંબંધિત અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી ન્યાય માંગ્યો છે. શાળાની આ બેદરકારી શૈક્ષણિક બેદરકારી તરીકે ચર્ચાનો વિષય બની છે. હવે શિક્ષણ વિભાગ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. વિદ્યાર્થિનીની કલેકટરને ફરિયાદ શાળા સંચાલકોને લાપરવાહીની જાણ થતા જ વિવાદિત પ્રકરણને દબાવી દેવા માટે વિદ્યાર્થિની પર ધોરણ-11 અને 12ની માર્કશીટ લઈ લેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. પોતાના કારકિર્દીના બે વર્ષ બગાડ્યા હોવાનું જણાવી ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓએ શાળાના જવાબદારો સામે કાર્યવાહી કરવાની લેખિત માંગ કલેકટરને કરી છે. હાઇસ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ વિદ્યાર્થીનીને ધોરણ-10માં નાપાસ હોવા છતાં નિયમ વિરુદ્ધ ધોરણ-11માં પ્રવેશ આપવો અને ધોરણ-12 સુધી અભ્યાસ કરાવ્યા પછી બોર્ડ ફોર્મ સમયે બહાર કરી દેવા જેવી ગંભીર બેદરકારી સામે શાળા સંચાલકો પર તાત્કાલિક તથા કડક કાર્યવાહી કરવી જરૂરી છે. શિક્ષણના નિયમો અને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થયેલી આવી લાપરવાહી સામે સંબંધિત અધિકારીઓએ કાનૂની તથા વિભાગીય પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે? નવસારી જિલ્લામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ત્યારબાદ સ્કૂલની બહાર વિદ્યાર્થીનો અન્ય વિદ્યાર્થી પર હૂમલા જેવી ઘટનાઓ બની ચુકી છે. જેને લઇ સમગ્ર શિક્ષણ જગત સ્તબ્ધ બન્યું છે. ત્યાં હવે વધુ એક પ્રકરણ બહાર આવ્યું છે. જેમાં એક શાળામાં એસએસસીમાં નાપાસ થવા છતાં. છાત્રાને આગળના વર્ગમાં મોકલી દેવાની પ્રવૃત્તિ આચરી દેવાઇ છે. આવી ગંભીર બેદરકારી અને વર્ષ બગડવાની ચેષ્ટા સામે નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલા ભરશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:07 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:ભાટ પ્રા. શાળાના બાળ વૈજ્ઞાનિકોની ‘ગો ગ્રીન એનર્જી’ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ

આંતલિયા અસ્પી કન્યા વિદ્યાલયમાં યોજાયેલ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26માં ભાટ પ્રાથમિક વિદ્યામંદિર દ્વારા રજુ કરાયેલ વિભાગ-3 માં ગો ગ્રીન એનર્જી કૃતિ બેસ્ટ કૃતિ તરીકે પસંદગી પામતા દક્ષિણ ઝોન કક્ષાના પ્રદર્શનમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર છે. ગો ગ્રીન એનર્જી કૃતિ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પવન અને સૌર ઊર્જા ગતિ ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરિત કરે છે. ભાટ પ્રાથમિક શાળાએ આ અગાઉ બેવાર રાષ્ટ્રીય કક્ષાએ ત્રણવાર રાજ્ય કક્ષાએ પ્રદર્શનમાં ભાગ લે શાળાની આગવી ઓળખ ઊભી કરી વૈજ્ઞાનિક પ્રદર્શનમાં હંમેશા અગ્રેસર રહી છે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજેશભાઈ ઝાલોરીયા, બીઆરસી કો.ઓર્ડિનેટર સોનલબેન કનેરિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજુબેન્દ્રભાઈ પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ટંડેલ, ભાટ પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈ પટેલ, સરપંચ ઉપસરપંચ માછી સમાજ એસએમસી પરિવાર સમસ્ત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ કૃતિ માટે માર્ગદર્શક શિક્ષક પિયુષકુમારસિંહ ટંડેલ, હેતવીબેન ટંડેલ સહિત સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:04 am

પોસ્ટરનું નિદર્શન કરાયું:ખેરગામના દત્ત મંદિરે દત્તાત્રેય જયંતિ સાથે બાપજીની ફિલ્મના પોસ્ટરનું નિદર્શન કરાયું

માગશરી પૂનમ ભગવાન ‌ દત્તાત્રેયની જન્મ જયંતીદિન જેમને દૈવી ત્રિમૂર્તિ -બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. દત્ત એટલે અર્પણ કરેલું આપેલું’ આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો. આજના દત્તાત્રેય જયંતીના પવિત્ર ઉત્સવમાં શ્રી તીર્થ નારેશ્વર ધામથી આગામી જુલાઈમાં મોટા પડદે પ્રસ્તુત થનાર ચિત્રપટ -યોગીરાજ રંગ અવધૂત-ફિલ્મ નહીં, આધ્યાત્મિક યાત્રાના સત્તાવાર પોસ્ટરનું બસોથી વધુ જગ્યાએ વિમોચન કરાયું. ખેરગામ સરસીયા ફળિયા ખાતે બ્રહ્મલીન સ્વામી કૃષ્નાનંદજી દ્વારા સ્થાપિત દત્ત મંદિરમાં ખેરગામના રંગ અવધૂત અનુયાયી ભૂદેવ ઋષિ ભટ્ટ દ્વારા સમૂહ પાદુકા પૂજન કરાયું. જેના સમાપન બાદ મંદિરના પ્રાંગણમાં અનેક રંગ ભક્તો અને છાત્રાઓની ઉપસ્થિતિમાં -યોગીરાજ રંગ અવધૂત- ફિલ્મના પોસ્ટરનું સૌપ્રથમ દત્ત બાવનીના સમૂહ ગાન થયા બાદ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભની ધૂન જય ગુરુદેવના નાદ સાથે માજી આચાર્ય ભરત નાયક, આદિત્ય, વિમલ, કિશોરભાઈ, અરુણ દેસાઈ, વિનોદ મિસ્ત્રી જય આચાર્ય વિ. દ્વારા વિમોચન કરવામાં આવ્યું જેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું. વિનોદ મિસ્ત્રી-ઋષિ ભટ્ટે માહિતી આપી હતી. બાદમાં તેનું ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. પૂ.બાપજીના જુલાઈમાં મોટા પડદે પ્રદર્શિત થનારા પરમ દિવ્ય જીવન કવન આધારિત ચિત્રપટના પોસ્ટર નિદર્શનમાં શિક્ષકો સાથે ખેરગામ રામજી મંદિરના ઘણા રંગ ભક્તો પણ જોડાયા હતા. ધૂન ગાન બાદ સર્વેએ મહાપ્રસાદ લીધો હતો. સંચાલક કાળીદાસ પટેલે આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:04 am

વિતરણ:ઉમરસાડીની JVBS હાઈસ્કૂલમાં સાયકલનું વિતરણ કરાયું

જે . વી. બી.એસ. હાઈ સ્કૂલ, ઉમરસાડી માં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9 ની બાળાઓને દિનેશકુમાર એમ ટંડેલ (માજી આચાર્ય જે. એન. સી. હાઈ સ્કુલ, મરોલી.) ના હસ્તે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ lની સહભાગીદારી થી તમામ કાર્યક્રમનું આયોજન થયું બાળકોમાં આનંદની લાગણી અનુભવાયી. શાળા પરિવાર દ્વારા સરકારને આ યોજના માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:03 am

પોસ્ટરનું વિમોચન કરાયું:ધરમપુરમાં દત્તાત્રેય જયંતિએ “યોગીરાજ રંગ અવધૂત” ફિલ્મના પોસ્ટરનું વિમોચન

ધરમપુરનાં શ્રી રંગ પરિવારે ભગવાન દત્તાત્રેયના પાવન અવતરણ દિવસ નિમિત્તે શ્રી રંગ અવધૂત મંદિરે દત્ત જયંતિની ભક્તિમય ઉજવણી યોજી હતી. પ્રાતઃકાળે દત્તનામ સંકીર્તન અને ‘દિગંબરા દિગંબરા શ્રીપાદ’ ધૂનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ શણગાર આરતી, પાદુકાપૂજન અને મહાપ્રસાદ સહિતની વિધિઓમાં ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો. રંગ અવધૂત મહારાજના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ “યોગીરાજ રંગ અવધૂત”નાં ઑફિશિયલ પોસ્ટરનું વિમોચન કરાયું હતુ. શ્રી રંગ પરિવાર, ધરમપુરનાં અગ્રણીઓ નીતિનભાઈ કાપડિયા,ભીખુભાઈ પરમારનાં હસ્તે પોસ્ટરનું અનાવરણ થયું હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ, આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા. રંગ અવધૂત મહારાજ અને દત્ત પરંપરાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સમર્પિત આ ફિલ્મ રંગ અવધૂત મહારાજના ઉપદેશો, વ્યક્તિત્વને નવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. 2026માં આવનારી આ ફિલ્મનાં પોસ્ટર વિમોચન પ્રસંગે હાજર આગેવાનો અને ભક્તોએ ફિલ્મને શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:03 am

હિન્દુ સંમેલનનું આયોજન કરાયું:ધરમપુર વાઘવળ ગામે હિન્દુ સંમેલનમાં 150 મંદિર નિર્માણનો સંકલ્પ ચરિતાર્થ

વલસાડ જીલ્લાનાં ધરમપુર તાલુકાનાં અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘવળ ગામે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી (યુ.એસ.એ.) દ્વારા આયોજીત દત્તાત્રેય મંદિરનાં સભાગૃહ પ્રવેશનાં ઉદ્ઘાટન અને વિરાટ હિન્દુ સંત સંમેલનનું તા. ૩જી ડિસેમ્બર 2025નાં બુધવારનાં રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ અવસરે આદિવાસી લોકગીત અને વાંજીત્રોનાં સથવારે શોભાયાત્રા નિકળી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જીલ્લા સહિત વિવિધ વિસ્તારોમાંથી પધારેલા સંતો અને મહાનુભાવોનાં હસ્તે દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો અને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ કે પરમાત્મા આપણી પરીક્ષા લે છે. પરમાત્મા આપણી ધીરજ જોતા છે. સુખી થવુ હોય તો મંદિરમાં જાઓ, ભગવાનનાં દર્શન કરો, સંતોનાં દર્શન કરો, સંતોને સાંભળો, ભજન કિર્તન કરો ઈષ્ટ દેવ, રામનામ જાપ કરો, જય હનુમાન, જયશ્રી કૃષ્ણા, જય સ્વામિનારાયણનું સ્મરણ કરો, હનુમાન દાદા તમામ દુઃખ રોગ પીળા દૂર કરી દેશે. કળિયુગમાં ભગવાનની ભક્તિ જ તમને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને સુખી રાખશે. ભગવાન દત્તાત્રેય સકારાત્મક ઉર્જાનાં સ્વામી છે. આ દત્તાત્રેય મંદિરનાં સભાપ્રવેશગૃહ 4.50 લાખનાં ખર્ચે દાતાઓનાં સહયોગથી બનાવવામાં આવ્યો છે. આ સભાગૃહ મંડપમાં દરરોજ ભજન, કિર્તન, સમુહ ભક્તિ માટે આહવાન કર્યુ હતું. આ અવસરે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-યુ.એસ.એ.નાં મેનેજીંગ ટ્રસ્ટી પૂ. કપિલ સ્વામીજીએ 150 ઉપરાંત મંદિર નિર્માણનાં સંકલ્પને ચરિતાર્થ કર્યાની માહિતી આપી હતી તેમજ આગામી ટુંક સમયમાં 51 આદિવાસી દિકરીઓ માટે સમુહ લગ્નનાં આયોજનની જાહેરાત કરી હતી. આ સમુહ લગ્નમાં ગરીબ આદિવાસીઓ દિકરીઓ પ્રભૂતામાં પગલા માંડશેનું જણાવી સૌ દાતાઓનો સહકાર બદલ આભાર માન્યો હતો. આ વિરાટ હિન્દુ સંમેલનમાં પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌથી મોટા મંદિર પૈકીનાં એક એવા વડતાલ સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરનાં ચેરમેન સંત સ્વામીજીએ જયશ્રી રામ, હર હર મહાદેવનાં નારા સાથે સંબોધનની શરૂઆત કરતા જણાવ્યુ કે આવા અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં સરકાર પણ કામ કરવામાં પાછળ પડી જતુ હોય જે કામ કરતા નથી કરી શકતુ એ સેવાકીય કામ સ્વામિનારાયણનાં સંતો કરી રહ્યા છે. પૂજય કપિલ સ્વામીજીને ટાંકીને તેમના દ્વારા થતા સેવાકીય પ્રવૃતિની સરાહના કરતા જણાવ્યુ હતુ કે માત્ર વલસાડ જીલ્લો જ નહી સમગ્ર ગુજરાત, દેશ-વિદેશમાં પણ કપિલ સ્વામીજીએ સેવાકીય પ્રવૃતિની સુવાસ ફેલાવી છે અને જરૂર પડયે વડતાલ મંદિર માટે પણ મોટાપાયે તન મન ધનથી સેવા પૂરી પાડી રહ્યા છે. મંદિર નિર્માણની કામગીરીની સરાહના કરતા જણાવ્યુ હતુ કે જે પોતાના ઈષ્ટદેવના મંદિરોનાં નિર્માણની સાથે સાથે હિન્દુ દેવી દેવતાઓનાં પણ મંદિર બનાવે એ સ્વામિનારાયણ સંપ્રદાય. અમને એ વાતનો ગર્વ છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સલવાવનાં સ્વામી રામકૃષ્ણદાસજીએ કર્યુ હતું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:02 am

ધર્મેન્દ્રનાં અસ્થિ વિસર્જન વખતે સનીએ પાપારાઝીનો કેમેરો ઝૂંટવ્યો

કિતને પૈસે ચાહિયે તેમ કહી ધમકાવ્યો અગાઉ પણ પોતાના ઘર પાસે એકઠા થયેલા કેમેરાપર્સન્સને ખખડાવ્યા હતા મુંબઇ - ધર્મેન્દ્રનાં હરિદ્વારમાં અસ્થિ વિસર્જન વખતે શૂટિંગ કરી રહેલા પાપારાઝીને સની દેઓલે બહુ આકરા શબ્દોમાં ધમકાવી તેનો કેમેરો ઝૂંટવી લીધો હતો. અસ્થિવિસર્જનની ક્રિયા ચાલતી હતી ત્યારે સની દેઓલ જોયું હતું કે એક પાપારાઝી તે ક્રિયાનો વીડિયો અને તસવીરો લઇ રહ્યો હતો. સનીએ કેમેરામેનને તને કાંઈ શરમ છે કે નહિ, તને કેટલા પૈસા જોઈએ છે તેમ કહી બહુ ધમકાવ્યો હતો.

ગુજરાત સમાચાર 5 Dec 2025 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પુતિન ભારત પહોંચ્યા, કહ્યું- ભારત નસીબદાર છે કે તેની પાસે મોદી છે; ઈન્ડિગોની 550 ફ્લાઈટ રદ; ગુજરાત ATSએ બે જાસૂસ પકડ્યા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારતમાં આગમન વિશે રહ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને આવકારવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. બીજા મોટા સમાચાર દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી તેના વિશે રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. 1984ના શીખ વિરોધી રમખાણોમાં દોષિત બલવંત ખોખરની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. 2. પુતિન પીએમ મોદી સાથે દિલ્હીમાં 23મા ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેશે. કાલના મોટા સમાચારો 1. પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે:તેઓ કોઈના દબાણમાં નથી આવતા, ઘણા દેશો ભારતની પ્રગતિની ઈર્ષ્યા કરે છે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને મહાન શક્તિ ગણાવતા કહ્યું છે કે પીએમ મોદી કોઈ દબાણમાં આવતા નથી. તેમણે આ વાત મોસ્કોમાં ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહી. પુતિને પીએમ મોદીની નેતૃત્વ, ભારત-રશિયા સંબંધો, વૈશ્વિક રાજકારણ અને અમેરિકાની નીતિઓ પર ખુલીને વાત કરી. પુતિને કહ્યું કે મોદી દબાણમાં આવનારા નેતાઓમાંના નથી અને ભારત એક મહાન શક્તિ તરીકે દુનિયામાં ઉભરી રહ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ભારત પર ટેરિફ લગાવીને રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો પુતિને સ્પષ્ટ કહ્યું કે ભારત પોતાની સ્વતંત્ર નીતિ પર ચાલે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારી કર્મચારીઓને SIR ડ્યુટી નિભાવવી પડશે:વધુ બોજ હોય તો સ્ટાફ વધારો; 7 રાજ્યોમાં 29 BLOના મોત થયા છે સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું કે રાજ્ય સરકારો અથવા રાજ્ય ચૂંટણી પંચો દ્વારા નિયુક્ત કર્મચારીઓએ SIRની ફરજ બજાવવી પડશે. જો કોઈની પાસે ફરજમાંથી મુક્તિ માગવાનું કોઈ ખાસ કારણ હોય, તો રાજ્ય સરકાર તેમની અપીલ પર વિચાર કરીને તેમની જગ્યાએ અન્ય કર્મચારીની નિમણૂક કરી શકે છે. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓ SIR સહિતના અન્ય વૈધાનિક કાર્યો કરવા માટે બંધાયેલા છે. રાજ્ય સરકારોની પણ ફરજ છે કે તેઓ ચૂંટણી પંચ (EC)ને કર્મચારીઓ ઉપલબ્ધ કરાવે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઇન્ડિગોમાં ક્રૂ-સંકટ, કંપની પાસે માણસો નથી!:300 ફ્લાઇટ્સ રદ; જયપુર, દિલ્હી, ઈન્દોરમાં હજારો મુસાફરો અટવાયા; 3 પેસેન્જર બેભાન એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગુરુવારે એકલા મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પર 300થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. પુણે એરપોર્ટ પર એક મુસાફરે આઠ કલાકથી વધુ સમય રાહ જોયાની જાણ કરી. એરપોર્ટના બંને માળ મુસાફરોથી ભરેલા હતા. ત્રણ મુસાફર બેભાન પણ થઈ ગયા. ફ્લાઇટ રદ કરવા અંગે એરલાઇન તરફથી કોઈ મેસેજ નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમેરિકામાં પાકિસ્તાની PM-આર્મી ચીફ પર પ્રતિબંધ લગાવવાની માગ:44 અમેરિકી સાંસદોએ વિદેશ મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે અમેરિકી સંસદના 44 સાંસદોએ બુધવારે વિદેશ મંત્રી માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સાંસદોનો આરોપ છે કે પાકિસ્તાનમાં સેના સરકાર ચલાવી રહી છે. દેશમાં સામાન્ય લોકોના અધિકારોનું મોટા પાયે હનન થઈ રહ્યું છે. વિદેશમાં રહેતા પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિકોને પણ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા પર ધમકીઓ આપવામાં આવી રહી છે. આ પત્ર ડેમોક્રેટિક મહિલા સાંસદ પ્રમિલા જયપાલ અને સાંસદ ગ્રેગ કાસરના નેતૃત્વમાં લખવામાં આવ્યો છે. આમાં સાંસદોએ કહ્યું કે પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે. પત્રકારોને ધમકાવવામાં આવી રહ્યા છે, અપહરણ કરવામાં આવી રહ્યું છે અથવા દેશ છોડવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું ₹459 ઘટીને ₹1.28 લાખ પ્રતિ 10 ગ્રામ થયું:ચાંદી ₹2,477 ઘટીને ₹1.76 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે, કેરેટ મુજબ સોનાની કિંમત જુઓ આજે એટલે કે 4 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 459 રૂપિયા સસ્તું થઈને 1,27,755 રૂપિયા થયું છે. આ પહેલા સોનું 1,28,214 રૂપિયાનું હતું. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹1,30,410 છે. જ્યારે, ચાંદીનો ભાવ 2,477 રૂપિયા ઘટીને 1,75,713 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા ચાંદીની કિંમત 1,78,190 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત ATSએ ISIS સાથે સંકળાયેલા બે જાસૂસની ધરપકડ કરી:નિવૃત્ત આર્મી મેન પોસ્ટિંગથી લઈ મૂવમેન્ટની માહિતી પાકિસ્તાન પહોંચાડતો ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આજે(4 ડિસેમ્બર) ATSએ જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી છે. ગોવાથી રાશમની રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતાં અને ISIS માટે કામ કરતા હતા. તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતાં હતાં. હાલ ATSએ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપી એ.કે. સિંહ આર્મીમાં સુબેદાર હતો અને તે પાકિસ્તાનના જાસૂસોને આર્મીની માહિતી આપતો હતો. જ્યારે રાશમની હનીટ્રેપ કરી આર્મી જવાનો પાસેથી માહિતી મેળવી પાકિસ્તાની હેન્ડલર્સને પહોંચાડતી હતી. તેમજ તે મહેમદાવાદા તાલુકાના કાચ્છઈ ગામના યુવકના શખ્સના સંપર્કમાં હતી.આ યુવક સાથેની સંવેદનશીલ કડીઓ સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરીને જજો!:દિલ્હી-હૈદરાબાદથી આવતી 3 ફ્લાઈટ કેન્સલ, દુબઈ-મુંબઈ સહિતની 12 ડીલે; કાઉન્ટર પર પેસેન્જરોની લાંબી લાઈન સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી કતારો અને ગુસ્સાનો માહોલ છવાયો છે. નવા DGCA સલામતી નિયમોના કારણે ક્રૂની અછતને લીધે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ભારે સંકટમાં છે. દેશભરમાં ગઈકાલે 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ, જ્યારે આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ કેન્સલ, 12 ફ્લાઈટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા છે અને આવતીકાલની ફ્લાઇટ મળશે કે કેમ તેની પણ કોઈ ખાતરી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઝાંસીમાં અમિતાભ બચ્ચનનો વોટ, 2003માં મતદાન કર્યું!:વોટર લિસ્ટમાં નામ મળ્યું, મકાન નંબર-54; પડોશીઓ બોલ્યા- અમે ફક્ત ફિલ્મોમાં જોયા છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇમરાનની બહેને કહ્યું- આસિમ મુનીર ઇસ્લામી કટ્ટરપંથી:ભારત સાથે યુદ્ધ ઇચ્છે છે, ઈમરાન BJP સાથે સંબંધો સુધારવા ઇચ્છતા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બાબરી બનાવવાની જાહેરાત કરનાર TMC ધારાસભ્ય સસ્પેન્ડ:હુમાયુ કબીરે કહ્યું- મસ્જિદ ચોક્કસ બનશે; તૃણમૂલ અને ભાજપ સામે વિધાનસભા ચૂંટણી લડીશ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અફઘાનિસ્તાન- 13 વર્ષના બાળક પાસે અપાવી મૃત્યુદંડની સજા:80 હજાર લોકો જોવા ઉમટી પડ્યા, દોષિતે બાળકના 13 સ્વજનોનો જીવ લીધો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રૂપિયો સતત બીજા દિવસે ઓલ ટાઈમ લો પર:ડોલર સામે 28 પૈસા ઘટીને 90.41 પર આવ્યો; સોનું અને ક્રૂડ ઓઇલ મોંઘા થશે, નિકાસકારોને ફાયદો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સાઉથ આફ્રિકાનો ભારત સામે હાઈએસ્ટ રન ચેઝ:હોમગ્રાઉન્ડ પર કોહલીની 40મી સદી, રોહિતે 9 હજાર રન પૂરા કર્યા; ટોપ રેકોર્ડ્સ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : રામલલ્લાને રેશમી રજાઇ, કાનુડાને ઊનના મોજાં:શિયાળામાં અયોધ્યા-મથુરામાં ઠાકુરજીને ઠંડીથી બચાવવા મંદિરમાં સગડી સળગાવી, ભોગમાં ફેરફાર કરાયા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે બિહારમાં રસગુલ્લા ઓછા પડતાં લગ્નમાં ખુરશીઓ ઊડી બિહારના ગયાજીમાં એક લગ્ન ત્યારે તૂટી ગયા, જ્યારે જમવાના સમયે રસગુલ્લા ઓછા પડ્યા. આ બાબતને લઈને જાનૈયાઓ અને કન્યા પક્ષ વચ્ચે મારામારી થઈ ગઈ. બંને પક્ષોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી. આ દરમિયાન પ્લેટ અને ગ્લાસ પણ ફેંકાયા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. IPS ડાયરીઝ-4 : ‘બાળકીનો રેપ કરી બે કટકા કરી નાંખ્યાં’:હજારોના ટોળાંએ પોલીસને ઘેરી, IPS મકરંદ ચૌહાણ કહે, ‘મોડો પડ્યો હોત તો પોલીસને જીવતા સળગાવી નાખત’ 2. ભાસ્કર એક્સપ્લેનર : પુતિનના 60 વર્ષની ઉંમરે છૂટાછેડા, 31 વર્ષ નાની ગર્લફ્રેન્ડ:બાળકોને ભણાવવા માટે બ્રિટનથી ટીચર આવે છે; રશિયાના રાષ્ટ્રપતિનું સિક્રેટ ફેમિલી 3. ‘મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનવી નક્કી, હિંમત હોય તો તોડી પાડો’:મસ્જિદનું એલાન કરનારા હુમાયુ કોણ છે, BJPએ કહ્યું- અયોધ્યા જેવો હાલ થશે 4. આજનું એક્સપ્લેનર: ભારત પાસેથી કઈ 3 વસ્તુઓ ઈચ્છે છે રશિયા? શું પુતિન માટે ટ્રમ્પની નારાજગીનું જોખમ લેશે PM મોદી? 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : ‘પતિ રશિયન સેનામાં ફસાયા, સરકાર પુતિન પાસેથી પાછા માગે’:44 ભારતીયો વોરઝોનમાં, પરિવાર પરેશાન; રશિયાના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસથી આશા 6. 3 હજારમાં થતો ટેસ્ટ રૂ.15ની કિટ કરી આપશે:ભાવનગરનાં વૈજ્ઞાનિકોએ યુરિન ઇન્ફેક્શન ડિટેક્ટ કરતો સેટ બનાવ્યો, 2 દિવસના બદલે 9 કલાકમાં રિપોર્ટ મળશે 7. બ્લેકબોર્ડ: મારો નેશનલ ચેમ્પિયન દીકરો બાસ્કેટબોલના પોલથી દબાઈને મૃત્યુ પામ્યો:મને કહેતો- દુનિયા મને હાર્દિકના પપ્પા કહીને બોલાવશે, તંત્રની બેદરકારીથી દીકરો હવે હયાત નથી 8. પ્રેગ્નન્સી દરમિયાન આ 12 ફૂડથી સાવધાન!:આ સમયે જે ખાશો તે તમારું અને સંતાનનું ભવિષ્ય નક્કી કરશે; ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો હેલ્ધી ડાયટ પ્લાન કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:કર્ક જાતકોને આજે લેવાયેલો નિર્ણય નજીકના ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે; તુલા જાતકોએ જાહેર સ્થળે વાદ-વિવાદથી બચવું વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:00 am

વારસાની જાળવણી:ધરમપુરમાં રાજવી કાળનાં મંદિરના જીર્ણોધ્ધાર

ધરમપુરનાં મામલતદાર કચેરી હસ્તકનાં રાજા સમયનાં સહીત કુલ 13 મંદિર અને ટ્રસ્ટમાં જરૂરી સમારકામ માટે સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. આ સર્વે માટે પ્રાંત અધિકારી ધરમપુરનાં માર્ગદર્શનમાં મામલતદાર કચેરીની ટીમની સાથે આરએન્ડબી સ્ટેટ ધરમપુરની સંયુક્ત ટીમ મંદિરોની વર્તમાન મજબૂતી, જરૂરી સમારકામનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહી છે. વહીવટી અને ટેકનિકલ ટીમનાં આ સંયુક્ત સર્વે બાદ સંપૂર્ણ દરખાસ્ત તૈયાર કરીને સરકારમાં રજૂ કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થઇ છે. ધરમપુર નગરની મધ્યમાં સ્થિત પૌરાણિક શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ચોમાસામાં છતમાંથી ટપકી ભગવાનની મૂર્તિ પર ટપકતા પાણીને લઇ ગામનાં જાગૃત યુવા ઋષિત મસરાણી સહીત ભક્તોમાં મંદિર રીનોવેશનની ઉઠેલી માગ વચ્ચે ધરમપુરનાં 13 મંદિરનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વે દરમ્યાન ભક્તો તથા ધર્મપ્રેમીઓ પાસેથી જરૂરી રજુઆત તથા સૂચન પણ લેવામાં આવશે એવી માહિતી મળી છે. ધરમપુરનાં આ 13 મંદિર પૈકી શ્રી રાધાકૃષ્ણ મંદિરનું કરોડો રૂપિયાનાં ખર્ચે જીર્ણોધ્ધાર સરકારે કર્યુ હતુ. તેમજ હાલે ધરમપુરનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનાં જતન માટે મામલતદાર હસ્તકનાં મંદિરોનું સર્વે શરુ થયું છે. વર્ષોથી ધ્યાન અપાયું ન હતું હવે એક આશ બંધ્યા છે. હાલ મંદિર‎સરકાર હસ્તક‎શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર, શ્રી ગોરા રામજી મંદિર, વિજયા અગ્નિ મંદિર મનહરઘાટ, શ્રી દલેશ્વર મહાદેવ, વિમળેશ્વર મહાદેવ, સતીમાતા મંદિર, ઘુલી પ્લેસ, શ્રી મારૂતી મંદિર શેરીમાળ, શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર, શ્રી બળીયાકાકા મહાદેવ મંદિર, શ્રી રાજરાજેશ્વર મંદિર, નાની વહિયાળ, શ્રી નર્મદેશ્વર,ધર્મેશ્વર , જતનેશ્વર મહાદેવ મંદિર અને સ્વ.રાજપૂતોની દેરી મનહરઘાટ, શ્રી હનુમાનજી અને મહાલક્ષ્મી મંદિર, શ્રી કાળા રામજી મંદિરઅને શ્રી મનહરકુંવરબા રામ મંદિર, વિરવલ

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:53 am

ભાસ્કર પેરેલલ ઇન્વેસ્ટિગેશન:દેશની જાસૂસી પ્રકરણમાં સંઘપ્રદેશથી મહિલા જાસૂસની ધરપકડ, ડોક્યુમેન્ટ એડિટિંગ માટે રાખેલા યુવકે ષડયંત્રનો પર્દાફાશ કર્યો

દુશ્મન રાષ્ટ્ર પાકિસ્તાન માટે જાસૂસી કરવાના પ્રકરણમાં એન્ટી ટેરિસ્ટ સ્કવોડે (એટીએસ) પહેલાં ગોવાથી નિવૃત્ત આર્મી સુબેદારને પકડ્યા બાદ દાદરા નગર હવેલીના તીઘરા ગામેથી એક મહિલાને ઉઠાવી હતી. આ બંને જણા ભારતીય સૈન્યના અતિસંવેદનશીલ ડોક્યુમેન્ટ અને વિગતો પાકિસ્તાનની ખૂફિયા એજન્સીને પહોંચાડતા હતા. સહુથી સુખદ આશ્ચર્યની બાબત એ છે કે આ રાષ્ટ્રવિરોધી તત્વોએ દસ્તાવેજો એડિટ કરવા માટે જે યુવકને નોકરીએ રાખ્યો હતો તેની સજાગતાથી જ દેશવિરોધી ખેલ ખૂલ્યો પડ્યો હતો. ગુજરાત એટીએસની ટીમે ગુરૂવારે દાનહના તીઘરા ગામે આવેલી શાંતીબેનની ચાલીમાં રહેતી રાશ્મની રવિન્દ્ર પાલની પણ ધરપકડ કરી હતી. એ પહેલાં ગોવાથી અજયકુમાર સુરેન્દ્રસિંહ (એ.કે.સિંગ) ને ઉઠાવ્યો હતો. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીના માણસો 'અંકિતા શર્મા' નામ ધારણ કરી નિવૃત્ત આર્મી સુબેદાર એવા ગોવાના અજયકુમાર સુરેન્દ્રસિંહ (એ.કે.સિંગ) સાથે તેમના દીમાપુર(નાગાલેન્ડ) પોસ્ટીંગ સમયે વર્ષ 2022માં સંપર્કમાં આવ્યા. જે બાદ PIO(પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ) દ્વારા અજયકુમાર પાસેથી આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મૂવમેન્ટ વગેરે માહિતી માગવામાં આવતી હતી. જ્યારે મૂળ ઉત્તરપ્રદેશની અને હાલમાં સંઘપ્રદેશ દાનહનમાં તીઘરામાં રહેતી રાશમની રવિન્દ્ર પાલ ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવી પાકિસ્તાની હેન્ડલરો માટે મહત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી. PIO “અબ્દુલ સત્તાર અને ખાલીદ દ્વારા રાશમનીને નાણાકિય લાભના બદલામાં પ્રિયા ઠાકુર નામની ખોટી ઓળખ બનાવીને જે ભારતીય આર્મીના જવાનોની માહિતી સત્તાર અને ખાલીદ શેર કરે તેઓની સાથે મિત્રતા કરવા અને તેનાથી આર્મીની ખાનગી માહિતી મેળવવાની સુચના અપાઈ હતી. જે માટે સમયાંતરે રાશમનીને ભારતીય સેનાના જવાનોનું મોબાઈલ નંબરોનું લિસ્ટ મોકલતા હતા. આ બંનેની મૂરાદ બર આવે તે પહેલા એટીએસે તેમને ઝડપી લીધા હતા.સમગ્ર પ્રકરણ કેવી રીતે પ્રકાશમાં આવ્યું તે અંગે ભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવી તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જાસૂસી કાંડમાં ઝડપાયેલી મહિલા આરોપી રાશમની થોડા સમય અગાઉ ખેડા જિલ્લાના એક યુવકના સંપર્કમાં હતી. મહિલાએ યુવકને યુ-ટ્યુબ માટે વીડિયો એડિટિંગનું કામ‎આપવાની અને તેના બદલામાં‎માસિક ₹20,000 પગાર‎આપવાની લાલચ આપી હતી. જે‎યુવકને જાસૂસીની જાળમાં‎ફસાવવાનો એક ભાગ હતો. આ‎ષડયંત્રના ભાગરૂપે આરોપી‎રાશમાનીએ રાધિકા નામથી‎દિલ્હીથી યુવકને કૂરિયર મારફતે‎રાઉટર, ચાર્જિંગ કેબલ અને અન્ય‎ડિવાઇસ પણ મોકલ્યા હતા.‎મહિલા આરોપીએ યુવકના‎લેપટોપમાં ભારતીય આર્મીના‎સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ સેવ‎કરાવ્યા હતા અને તેને ઝૂમ‎કરાવીને જોયા હતા. આ‎ડોક્યુમેન્ટ્સ 23 નવેમ્બર‎2024થી 19 માર્ચ 2025 સુધીના‎ગાળામાં જુદી જુદી પાંચ વાર‎મોકલ્યા હતા. જો કે, યુવકને‎યુ-ટ્યુબ પર ફોટો- વીડિયો‎અપલોડ કરવાનું કહી નોકરીએ‎રાખ્યો હતો પરંતુ મહિલાએ‎યુ-ટ્યૂબ પર અપલોડ ના કરતાં‎તેને શંકા ગઇ હતી અને સજાગ‎યુવકે ગુજરાત એટીએસનો સંપર્ક‎કરતા મહિલા જાસૂસની સમગ્ર‎હકીકતનો પર્દાફાશ થયો છે.‎ મહિલા સૈન્યની મૂવમેન્ટ અને યુદ્ધાભ્યાસની માહિતી પહોંચાડતી મહિલાએ સેનાની ગુપ્ત માહિતી માટે અમુક લોકોને ફસાવવાની કામગીરી કરી હતી. હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સની યુધ્ધ અભ્યાસ અને મુવમેંટ અંગે ખાસ તપાસ કરવા જણાવેલું હતું. રાશમની સત્તારના પાકિસ્તાની નંબર(+92) સાથે સીધા સંપર્કમાં હતી. આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટસએપ કોલ અને દસ્તાવેજો તથા નાણાકિય વ્યવહારોની વિગતો મોબાઈલમાંથી મળી છે. ચકાસણી કરતા “અંકિતા શર્મા ઉર્ફે રાધિકા” મુલતાન અને સરગોધા, પાકિસ્તાન ખાતેથી, “અબ્દુલ સત્તાર” લાહોર, પાકિસ્તાન ખાતેથી અને “ખાલીદ” VPN અને મલેશિયન ઉપયોગ કરતા હતાં. મામા પાસેથી 30 હજાર પડાવ્યા ઉત્તરપ્રદેશમાં રહેતા મારા મામા કે જેઓ અપરિણિત છે, એમને સોશિયલ મીડિયામાં ફસાવ્યો હતો. મિત્રતા કેળવીને અમુક ડોલર મોકલાવું છું કહીને 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જોકે, મામાને પાછળથી ખ્યાલ આવ્યો કે જે વિદેશી યુવતીના નામે સોશિયલ મીડિયામાં ચેટિંગ કરે છે એ ઓરિજનલમાં તો રાધા છે. > વિનોદ યાદવ, પડોશી મહિલાને ચાર માસનો પુત્ર છેલ્લા એક વર્ષથી તેઓ મારી રૂમ ઉપર ભાડેથી રહેવા આવ્યા હતા. પતિ-પત્ની સાવ સામાન્ય દંપતીની જેમ જ જીવન જીવતા હતા. પતિ કંપનીમાં નોકરી કરે છે, પોલીસ આવીને આખા પરિવારને લઇ ગઇ છે. જે મહિલાની ધરપકડ થઇ પોતાનું નામ રાધા કહ્યું હતું. મહિલાને ચાર માસનું બાળક પણ છે.> રમણભાઇ પટેલ, રૂમ માલિક સેલવાસમાં રાધા બની‎મહિલાએ અનેકને છેતર્યા‎પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી માટે જાસૂસી કરનારી‎મહિલાની એટીએએસે ધરપકડ કર્યા બાદ જ્યારે‎ભાસ્કરની ટીમ તીધરા ગામે મહિલા જાસૂસના ઘરે‎પહોંચી ત્યારે ચોંકાવનારી માહિતી મળી હતી. અહિં‎રાશમનીને અડોશ પડોશમાં રહેતા લોકો રાધા નામથી‎ઓળખતા. આ મહિલા પડોશીના અને તેમના સંબંધીના‎યેનકેન પ્રકારે નંબરો મેળવતી હતી અથવા તો પૂરી‎માહિતી મેળવતી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં‎વિદેશી યુવતી હોવાની ઓળખ આપીને મિત્રતા કેળવતી‎હતી. થોડા સમય સુધી વાત કે ચેટ કર્યા પછી વિશ્વાસ‎સંપાદન કરતી અને વિદેશથી મોંધો મોબાઇલ ફોન ગિફ્ટ‎કરવા માંગુ છું અથવા તો અમૂક ડોલર ખર્ચ કરવા માટે‎મોકલાવું છું એમ કહીને જાળમાં ફસાવતી હતી. જોકે,‎મહિલા ક્યારે પણ ઓનલાઇન કેમેરાની સામે વાત‎કરવાનું ટાળતી હતી. મોબાઇલ કે ડોલર કસ્ટમ ડ્યુટી‎અથવા પોલીસ વેરિફિકેશનમાં અટકી ગયો હોવાનું‎જણાવી છોડાવવા માટે રૂપિયાની માગણી કરતી રૂપિયા‎તે એરટેલ પેમેન્ટ બેંકમાં ટ્રાન્સર્ફર કરાવતી હતી.‎

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:51 am

મંદિરમાં ચોરી:ગાંભુના અંબાજી મંદિરમાંથી 8 હજારના દાગીના ચોરાયા

બહુચરાજીના ગાંભુ ગામે આવેલા અંબાજી મંદિરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અજાણ્યા ચોરોએ મંદિરમાં પ્રવેશ કરીને માતાજીના માથાનો ચાંદીનો મુગટ, ચાંદીનો હાર, એક જોડી ચાંદીની બુટ્ટી, ચાંદીના છત્તર સહિત એક કિલો ચાંદી જેની કુલ કિંમત 8000 જેટલી થાય તેની ચોરી કરી ગયા હતા. 2 ડિસેમ્બરના રોજ સવારે મંદિરમાં પૂજા કરવા ગયેલા પૂજારીને ખબર પડતા તેમણે ગામના આગેવાનને વાત કરતા ભીખાભાઈ પટેલે મોઢેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ભાસ્કર વિશેષ:પિતાની નોકરી છૂટી , સંતાનોએ કહ્યું ચિંતા ના કરો ઘરમાં‎સરકારી નોકરી આવશે , ભાઈ બહેન પોલીસમાં લાગ્યા‎

કહેવત છે કે સંઘર્ષથી સમયને બદલી શકાય છે. સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામના એક ગરીબ રબારી પરિવારમાં આજે ખુશીનો માહોલ છે, જ્યાં અપંગ પિતાની ડેરીની નોકરી છૂટી જતા લાચારી જોઈને તેમના દિકરા-દીકરીએ હવે સરકારી નોકરી લેવાનું લીધેલું વચન 5 વર્ષના અંતે પૂર્ણ થયું છે. નાગજીભાઈ રબારીના પુત્ર માવજીભાઈ અને પુત્રી આશાબેનનું એકસાથે ગુજરાત પોલીસમાં સિલેક્શન થયું છે, જેના કારણે પરિવારમાં આનંદો છવાયો છે. મોટા નાયતા ગામમાં ગરીબ પરિવારના નાગજીભાઈ રબારી અપંગ હોવા છતાં માંડ-માંડ ઘર ચલાવવા ગામની દૂધ ડેરીમાં મંત્રી તરીકે નોકરી કરતા હતા. પરંતુ, 2020માં તેમની નોકરી છૂટી જતાં આખા પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું. પિતાની આંખોમાં ચિંતા અને માતાનો ઘર ચલાવવાનો સંઘર્ષ જોઈને દીકરા માવજીભાઈનું હૃદય પીગળી ગયું. તેમણે પિતાને સ્પષ્ટ કહ્યું કે, “પપ્પા, હવે તમે કોઈ ખાનગી નોકરીની ચિંતા ન કરો. હું અને આશા (બહેન) સરકારી નોકરી મેળવીને જ તમારું સપનું પૂરું કરીશું. વર્ષ 2021 થી જ ભાઈ બહેને ગામ નજીક. મેલુસણ ગામની લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ સાથે ગામના ખુલ્લા રોડ ઉપર દોડી મેદાન પાસ કરવા તનતોડ તૈયારીઓ શરૂ કરી હતી. પ્રથમ પ્રયાસમાં બન્નેને નજીવી માર્ક્સ ઓછા આવતા નિષ્ફળતાઓ મળી પરતું હિંમત ન તોડાવી શકી અને આ વચન પૂરું કરવા માટે ભાઈ-બહેને દિવસ-રાત એક કરી દીધા. બન્ને સાથે માતાને ખેતીકામ અને ઘરકામમાં મદદ કરીને અભ્યાસ કરતા હતા વર્ષ 2021થી શરૂ થયેલા સંઘર્ષમાં તેમને ઘણી નિષ્ફળતા મળી હતી.અંતે આકરી મહેનત રંગ લાવી અને વર્ષ 2025માં બંને ભાઈ-બહેનનું ગુજરાત પોલીસમાં એકસાથે સિલેક્શન થયું. લાઇબ્રેરીમાં વાંચ્યું રોડ ઉપર દોડીને પ્રેક્ટિસ કરતાભાઈ માવજીભાઈ સંઘર્ષની કહાની વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2022ની પોલીસ ભરતીમાં માત્ર 0.47 માર્ક્સ અને ક્લાર્કમાં 1 માર્ક્સથી રહી ગયો હતો.મારી બહેન આશાબે SSC GD અને ફોરેસ્ટની પરીક્ષામાં માત્ર 0.50 માર્ક્સથી મેરીટમાં આવતા ચૂકી ગઈ હતી. ઘરમાં અપંગ પિતા અને એકલવાયા માતાનો વિચાર કરીને બંનેએ નક્કી કર્યું કે હવે હારવું નથી.મેલુસણ લાઈબ્રેરીમાં વાંચન કરી રોડ પર સાથે દોડીને શારીરિક તૈયારી કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

મનપાની ચેતવણી:મહેસાણામાં 3736 મિલકતદારો 15 દિવસમાં વેરો નહીં ભરાય તો મનપા જપ્તી વોરંટ કાઢશે

મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં રૂ. 5,000થી વધુ મિલકત વેરો બાકી રાખનારા મિલકતદારો સામે મનપાએ કડક પગલાં શરૂ કર્યા છે. વોર્ડવાઇઝ બાકીદારોની યાદી તૈયાર કરીને અત્યાર સુધી વેરા વોર્ડ પૈકી 7 વોર્ડ ના કુલ 3736 મિલકતદારોને 15 દિવસની અંદર વેરો ભરવા અલ્ટિમેટમ આપતી માંગણા નોટિસ ફટકારી છે. જેમાં મ્યુ.કમિશનરને ખાતરી થાય તેવું રકમ ન ભરવા માટેનું પૂરતું કારણ દર્શાવવામાં ન આવે તો રકમ ખર્ચ સાથે વસુલ કરવા માટે મિલકત ટાંચ કે જપ્તી વોરંટ કાઢવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જૂના પાલિકા હદ વિસ્તારમાં કુલ 1.08 લાખ મિલકતદારો છે, જેમાંથી 67 હજાર લોકોએ વેરો ભર્યો છે, જ્યારે હજી 41 હજાર મિલકતદારો વેરા બાકી છે. અત્યાર સુધી ચાલુ અને પાછલા વર્ષો મળીને મનપાને કુલ રૂ.14 કરોડ વેરા આવક પ્રાપ્ત થઈ છે. 30 દિવસમાં વેરો ભર્યો તો 10 ટકા રાહત મનપાના વેરા માંગણા બિલ તારીખથી 30 દિવસમાં વેરાની રકમ ભરતા મિલકતદારોને વાર્ષિક મિલકત વેરાની રકમ માં 10 ટકા રિબેટ લાભ એટલે કે રાહત મળશે. જ્યારે આ 30 દિવસ પછી 60 દિવસ સુધીમાં વેરો ભર્યો તો બીલમાં રકમ દર્શાવી છે એ તમામ ભરપાઈ કરવાની રહેશે, તેમાં રિબેટ લાભ નહી મળે. જ્યારે માંગણા બિલ તારીખથી 90 દિવસ પછી વેરો ભર્યો તો વેરા રકમમાં 18 ટકા પેનલ્ટી સાથે ભરવી પડશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વીજ થાંભલો થયો ધરાશાયી:રાધનપુર રોડ પર ઝાડ વીજલાઇન પર પડતાં થાંભલો કાર પર પડ્યો

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા શક્તિધારા સોસાયટીના રોડ બાજુનું મોટું વૃક્ષ ગુરુવારે ધરાશાયી થયું હતું. સવારે લગભગ 11 વાગ્યે ઘટેલી આ ઘટનામાં વૃક્ષ સીધું વીજ લાઈન પર પડતાં પોલ જમીનદોસ્ત થયો હતો. પોલ સાથે પડેલા વૃક્ષે નજીક પાર્ક કરેલી જીજે 02 સીપી 1085 નંબરની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી. થોડોક સમય ટ્રાફિકમાં અવરજવર ખોરવાઈ હતી; હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ચોરી:ઊંઝા રેલવે કોલોનીના સ્ટાફ ક્વાટર્સમાંથી 33હજારની ચોરી

ઊંઝા રેલવે કોલોનીમાં બે ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ચોરોએ બે સ્ટાફ ક્વાર્ટરના દરવાજા તોડી ઘરમાં ઘૂસી 33હજારની મત્તાની ચોરી કરી ગયા હતા મહેસાણા રેલ્વે પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝાની રેલવે કોલોનીમાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી એકનો પાછળનો દરવાજો તૂટેલો અને ખૂલ્લો હતો. રેલ્વે સ્ટેશન માસ્તરે જીતેન્દ્રકુમાર બેરવાના ક્વાટર્સમાં જઈને તપાસ કરતાં તેમાંથી એલઈડી ટીવી અને પૈસા રાખવાનો ગલ્લો તેમજ ચાંદીની પાયલની ચોરી થઈ હોવાની ખબર પડી હતી. સાથે ટિકિટ બારી ઉપર નોકરી કરતાં કર્મચારી મુકેશકુમારના સ્ટાફ ક્વાર્ટર્સ માંથી પણ 5000 રોકડા કેબલ પર મૂકેલ કાંડા ઘડિયાળ સહિત બંને જગ્યાએથી 33,000ની મત્તાની અજાણ્યા ચોરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સ્ટેશન માસ્તર રાકેશ કુમારે મહેસાણા રેલ્વે પોલીસ મથકે નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

જિલ્લા શિક્ષણાધિકારીનો શાળાઓને આદેશ:શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના ગરમ કપડાંની છૂટ

શિયાળાની ઋતુ શરૂ થઇ છે ત્યારે સવારની શાળાઓમાં પવનના સુસવાટા વચ્ચે ઘરેથી શાળાએ જતા વિદ્યાર્થીઓ ગરમ કપડા પહેરીને શાળાએ જવા લાગ્યા છે. આ દરમિયાન શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના જ કે રંગના ગરમ કપડા પહેરવાની ફરજ પાડી શકશે નહીં અને વિદ્યાર્થીઓ અનુકુળતા પ્રમાણે ગરમ કપડા પહેરી શાળાએ જઈ શકશે તેવી છૂટછાટ અંગે શાળાઓને મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પટેલે આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને જણાવાયું છે કે શિયાળાની ઠંડી વધતા વિદ્યાર્થીઓને પોતાની સુવિધા મુજબ કોઈપણ પ્રકારના ગરમ કપડાં પહેરીને શાળામાં આવવાની છૂટ આપવામાં આવે. શિયાળાની ઋતુ દરમિયાન ઠંડા પવનની અસર વધી રહી છે,જેના કારણે નાના વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર ન પડે તે માટે આ છુટછાટનો અમલ કરવો. કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડા પહેરવાની ફરજ પાડી શકશે નહી. ઘરેથી ઉપલબ્ધ જે કપડાં તેમને ગરમ રાખે તે પહેરી આવતા વિદ્યાર્થીઓને શાળા પૂર્ણ માન્યતા આપશે. છેલ્લાં વર્ષોમાં ઠંડીના કારણે અનેક વખત વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અગ્રિમ આયોજન સાથે આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ રાહત અનુભવો થશે એવી આશા વ્યક્ત કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

SOGની ટીમ દ્વારા કાર્યવાહી:સીમકાર્ડ વેચાણના ગ્રાહકના પુરાવા ન રાખતાં ગુનો નોંધાયો

ઓળખના ડોક્યુમેન્ટ વિના બોગસ સીમ કાર્ડ ઈશ્યુ ન થાય અને તે સીમકાર્ડનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ ન થાય તેની તકેદારીના ભાગરૂપે મહેસાણા એસઓજીની ટીમે સીમકાર્ડનું વેચાણ કરતી દુકાનોમાં મહેસાણાના પરા ટાવર પાસે રસ્તાની બાજુમાં સીમકાર્ડ વેચાણનો સ્ટોર બનાવેલ હોય તે સ્ટોલમાં સીમકાર્ડ વેચાણ કરેલ ગ્રાહકોના આધાર પુરાવા ના રજીસ્ટરોમાં નોંધેલ વિગતોની માંગણી કરતા આવું કોઈ રજીસ્ટર તેમણે નિભાવ્યું ન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે રોહિત શંકરજી ઠાકોર રહે. મેઘાલિયાસણા ઠાકોર વાસ તા.જિ. મહેસાણા સામે તેમજ અન્ય એક સીમકાર્ડ વેચાણનો સ્ટોર ધરાવતા મહર્ષ વિનોદભાઈ ગુપ્તા રહે.જનતા નગર સોસાયટી ગંજ બજાર સામે મહેસાણા બંને વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

સમસ્યાનો આવશે અંત:રાધનપુર રોડ પર બાહુબલી સોસાયટીમાં 25 વર્ષ બાદ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળશે

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ બાહુબલી સહિત પાંચ સોસાયટીને દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા સતાવતી હતી. આ અંગે વારંવાર રજૂઆતો બાદ આખરે મહાનગરપાલિકા તંત્ર વ્હારે આવ્યું અને બાહુબલી સોસાયટીના કોમન પ્લોટથી હાઇવે સુધી અંડરગ્રાઉન્ડ વરસાદી પાણી નિકાલની પાઇપલાઇન નાખવાની કામગીરી ખાતમુહૂર્ત સાથે શરૂ કરવામાં આવી છે. આગામી ચોમાસામાં હવે વરસાદી પાણી નિકાલ થવાની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે એટલે રહીશોએ રાહતનો દમ લીધો છે. તાજેતરમાં મનપા દ્વારા શહેરના વોર્ડમાં પમ્પીંગ સ્ટેશન, દેત્રોજપુરા નવીન ટ્યુબવેલ, રાધનપુર રોડ બાહુબલી સોસાયટીમાં વરસાદી લાઇન સહિતના કુલ રૂ. નવ કરોડના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ સાથે કામગીરીનો પ્રારંભ કરાયો છે.બાહુબલી સોસાયટીના કૈલાશપુરી ગોસ્વામીએ કહ્યું કે, છેલ્લા 25 વર્ષ કરતાં વધુ સમયથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા હતા. બાહુબલી, સાર્થક, સૈારભ વિલા, કનક પાર્ક અને સિધ્ધરાજ સોસાયટીને આ સમસ્યા વધુ રહેતી હતી હવે વરસાદી લાઇન પછી ચોમાસામાં 300 પરિવારોને રાહત મળશે. મેઇન રોડ તરફ મળીને કુલ 18 સોસાયટી આવેલી છે. બાહુબલી સોસાયટીના કોમન પ્લોટ થી મેઇન રોડ સુધી હવે વરસાદી લાઇન નંખાશે એટલે ચોમાસામાં પાણી નિકાલ શક્ય બનશે. હવે સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અનુરોધ કરાયો‎બાહુબલી સોસાયટીથી રાધનપુર રોડ મેઇન રસ્તા સુધી આવતા વચ્ચેનો રસ્તો સાંકડો હોઇ એમ્બ્યુલન્સ કે ફાયર જેવા વાહન પણ પસાર થવું મુશ્કેલ છે. ત્યારે વરસાદી લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગ વખતે ધારાસભ્ય મહેશભાઈ પટેલે રસ્તામાં આવતા દબાણ સ્વેચ્છાએ હટાવી રોડ ખુલ્લો કરવા અનુરોધ કર્યો હતો, જેથી ભવિષ્યમાં નવીન રોડનું આયોજન સારી રીતે થઇ શકે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

રોડના કામો અટવાયા:ખેરાલુ પાલિકામાં આંતરિક વિખવાદમાં રૂ. 1.20 કરોડના રોડના કામો અટવાયા

ખેરાલુ નગરપાલિકામાં નગરસેવકો વચ્ચેના આંતરિક મતભેદો અને વૈચારિક ગૂંચવાડાનો ભોગ નગરજનો બની રહ્યા છે. પાલિકામાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં ચાલુ વર્ષે એક પણ તૂટેલા માર્ગનું નવું કામ શરૂ થઈ શક્યું નથી. ત્યારે ચીફ ઓફિસરે પડતર પડેલું એક ટેન્ડર કોંગ્રેસના નગરસેવકોની હાજરીમાં ખોલી નાખતા ખેરાલુ પાલિકામાં રમાતું રાજકારણ બહાર આવ્યું છે. વર્ષ 2024-25 અને 2025-26 માટે નગર અને પરા વિસ્તારને જોડતા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે કુલ રૂ. 1.20 કરોડ (વર્ષે 60 લાખ)ની ગ્રાન્ટ છેલ્લા છ મહિનાથી વણ વપરાયેલી પડી છે. આ કામ માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા. પ્રથમ પ્રયાસમાં કોઈ એજન્સી ન આવતા, બીજા પ્રયાસમાં ધોરમનાથ નામની એજન્સીએ ટેન્ડર ભર્યું હતું. જોકે, પાલિકાના સત્તાધીશોએ આ ટેન્ડર ખોલ્યું ન હતું. તેના બદલે, જનરલ બોર્ડમાં ઠરાવ કરીને આ કામ પાલિકાની રૂટિન કામગીરી કરતી વાર્ષિક કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને એસ.ઓ.આર. રેટ મુજબ સોંપવા ઠરાવ કર્યો હતો. આ નિર્ણય સામે કોંગ્રેસ સહિત કેટલાક નગરસેવકે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ચીફ ઓફિસરથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી કે ભરાયેલું જૂનું ટેન્ડર ખોલવામાં આવે. આ રજૂઆતને ધ્યાને લઈ ચીફ ઓફિસરે પોતાની સત્તાની રૂએ કોંગ્રેસના નગરસેવકોની હાજરીમાં તે સીલબંધ ટેન્ડર ખોલી નાખ્યું હતું. સત્તાપક્ષનું કહેવું છે કે અગાઉ કામ શરૂ ન કરવાને કારણે જે-તે એજન્સીને પડતી મૂકવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વેધર રિપોર્ટ:પૂર્વના પવનથી ભેજ વધ્યું, ગરમીનો પારો 30 ડિગ્રી નીચે

ઉત્તર ગુજરાતમાં ગુરુવારે પ્રતિ કલાકે સરેરાશ 7 કિલોમીટરની ઝડપે પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. જેને લઇ વહેલી સવારે ભેજનું પ્રમાણ 70%એ અકબંધ રહેતાં ઠંડીનો પારો 15.4થી 16 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 16 ડિગ્રીથી નીચા તાપમાનને કારણે સવારે ધ્રુજાવતી ઠંડી અનુભવાઇ હતી. બપોરે ભેજનું પ્રમાણ વધીને 45%એ પહોંચ્યું હતું. જેને લઇ દિવસનું તાપમાન સવા ડિગ્રીના ઘટાડા સાથે 30 ડિગ્રીથી નીચે રહ્યું હતું. સૂર્યાસ્ત સાથે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ફરી વધ્યું હતું. હવામાન વિભાગની ઠંડીની આ સ્થિતિ આજે પણ યથાવત રહેવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:નાગલપુર ઓવરબ્રિજના કામમાં સર્વિસ રોડ સાઇડ દબાણ દૂર ન થતાં રસ્તામાં પાર્કિંગ

મહેસાણા શહેરના નાગલપુર હાઇવે ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોઈ વાહન ટ્રાફિક બન્ને સર્વિસ રોડ ડાયવર્ટ કરાયો છે. જેમાં નાગલપુર કોલેજથી પકવાન હોટલ સુધી જ સર્વિસ રોડ સાઇડ માર્જીનમાં કરાયેલ ઓટલા, બ્લોક, શેડના દબાણ મનપાએ તોડીને કામગીરી આટોપી લેવાઇ છે. જ્યારે સામે નાગલપુર ચોકડી થી સહયોગ, વિકાસ નગર પાટિયા ચોકડી તરફ ના રસ્તામાં વાહન ટ્રાફિકની મુશ્કેલી છતાં માર્જિનના દબાણો દૂર કરવાની તસ્દી તંત્ર દ્વારા ન લેવાઈ હોઇ એક ને ગોળ, બીજાને ખોળ જેવો ઘાટ સર્જાયો છે. નાગલપુર ચોકડીથી વિકાસ નગર પાટિયા સુધી રોડનો કેટલોક ભાગ ઓવરબ્રિજ કામ બેરીકેટ કરાયેલ છે. આવામાં મહેસાણાથી આરટીઓ તરફ સર્વિસ રોડથી જતા વાહનચાલકોનો સતત ઘસારો રહેતો રસ્તો સાંકડો પડી રહ્યો છે. વળી વાહન પાર્કિંગ અડધું સર્વિસ રોડ ઉપર જોવા મળી રહ્યુ છે. આવામાંથી વાહનચાલકોને પસાર થવામાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. 3 હોટલો, 4 શો રૂમ, બેંક સહિતના કોમ્પલેક્ષ આવેલા છે, શેડ અને ઊંચાઈમાં બ્લોકના લીધે ઘણા વાહન રોડ સાઇડ પાર્ક થઇ રહ્યા છે. પેરેડાઇઝ સહિત 20થી વધુ સોસાયટીને સ્પર્શતો મુખ્ય સર્વિસ રોડ હોઇ રહીશોનો પણ સતત આ રસ્તાનો ઉપયોગ છે. આવામાં મહેસાણાથી અમદાવાદ તરફ જતા વાહનચાલકો આ સર્વિસ રોડ થી પસાર થતા હોઇ અવાર નવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે. નાગલપુર વિસ્તારના કેટલાક વેપારી સૂત્રોએ કહ્યું કે, મહાનગરપાલિકા તંત્રને માત્ર પકવાન હોટલ સુધી જ દુકાનો, કોમ્પલેક્ષ આગળ માર્જીનમાં દબાણ દેખાયા લાગે છે, સામેના છેડે માર્જીન બાંધકામમાં કેમ કાર્યવાહી નહી, જેને લઇને મનપા તંત્ર વ્હાલા દવાલાની નીતિ સામે સવાલો ખડા થયા છે. પશાભાઇ પેટ્રોલપંપ અને ગાયત્રી મંદિરના ખૂલ્લા કટમાં ક્રોસ કરતાં સાચવજોનાગલપુર હાઇવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોઇ તંત્ર દ્વારા પશાભાઇ પેટ્રોલ પંપ તેમજ ગાયત્રી મંદિર સર્વિસ રોડથી હાઇવે ક્રોસ કરીને સામે સ્વામિનારાયણ મંદિર તરફ ના સર્વિસ રોડ વાહનચાલકોને અવરજવર માટે ડિવાઈડર કટ સુલભતા માટે ખુલ્લા કરાયેલા છે. જોકે સર્વિસ રોડથી હાઇવે ઓળંગતા અંડરપાસ અને હાઇવે બે તરફથી પણ વાહન આવતા હોય છે, આવામાં અકસ્માતનું જોખમ હોઇ હાઇવે કટ ઓળગતા સાચવવું જરૂરી છે, કારણ કે પોલીસ પોઇન્ટ મુકાયેલ નથી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ભાસ્કર એનાલિસીસ:ઉ.ગુ.માંથી પસાર થતી 2 ટ્રેનો રદ, 3 ટ્રેનો ડાયવર્ટ અને ચાર ટ્રેનો નિયત સમય કરતાં મોડી ઉપડશે

ઉત્તર પશ્ચિમ રેલવેના મદાર–પાલનપુર સેક્શનમાં સોમેસર–જવાલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 613 પર આરસીસી બોક્સ લોન્ચિંગને કારણે બ્લોક લેવામાં આવ્યો છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી 9 ટ્રેનો આગામી 6 ડિસેમ્બર સુધી પ્રભાવીત થઇ છે. જેમાં 2 ટ્રેનો રદ, 3 ટ્રેનો ડાયવર્ટ અને 4 ટ્રેનો નિયત સમય કરતાં 2 થી 6 કલાક સુધી મોડી ઉપડશે. આ 2 ટ્રેનો રદ 5 અને 6 ડિસેમ્બરે સાબરમતી–જોધપુર એક્સપ્રેસ (14822) , 4- 5 ડિસેમ્બરે જોધપુર–સાબરમતી એક્સપ્રેસ (14821) આ 4 ટ્રેનો મોડી આવશે

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

નવા ફૂટ બ્રિજનું કરાશે નિર્માણ:પાલનપુર રેલ્વે સ્ટેશન પર મુખ્ય ટિકિટબારીથી માલ ગોડાઉન રોડ સુધી નવો ફૂટ બ્રિજ બનશે

પાલનપુર રેલ્વે સ્ટેશન પર જુના 2 ફૂટ બ્રિજ તોડવામાં આવ્યા છે. જેમાં એફસી આઈ માલગોડાઉન છેડાને જોડતા બ્રિજને તોડીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. અહીં અગાઉ જ્યાં બ્રિજના પગથિયા હતા ત્યાં હાલમાં નવા ટ્રેક માટેની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાજુ હવે આ ફૂટ બ્રિજની જગ્યાએ નવો ફૂટ બ્રિજ રેલવે ટિકિટ બારીથી શરૂ થઈ સામે રેલવે માલગોડાઉન રોડ પાસે ઉતારવામાં આવનાર છે. એજન્સીએ જણાવ્યું કે નવા બ્રિજ ની ડિઝાઇન હજુ તૈયાર થઈ નથી પણ અગાઉ જુનો જે પહોળો બ્રિજ હતો તે રીતે જ પહોળો બનાવવામાં આવશે. નવા ફૂટ બ્રિજની મંજૂરી આવી ગઈ છે. ત્રણ વર્ષમાં બ્રિજ બનીને તૈયાર થશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

આજે માટી દિવસ:12.70 લાખ હે. જમીનમાંથી 7.54 લાખ હે.જમીન ખેતીયોગ્ય

જિલ્લામાં કુલ 12.70 લાખ હેકટર જમીનમાંથી લગભગ 7.54 લાખ હેકટર વિસ્તાર ખેતીયોગ્ય છે.જેમાં 6.02 લાખ હેકટર જમીનમાં ખેતી થાય છે, જેમાં અનાજ, તેલબીયા, કપાસ, ઘઉં અને ચારા પાક મુખ્ય છે. જિલ્લામાં 1.10 લાખ હેકટર જંગલ વિસ્તાર છે, જ્યારે 65 હજાર હેકટર બંજર અને 23 હજાર હેકટર પડતર જમીન છે. બહુપાક પ્રણાલીના કારણે જિલ્લામાં કુલ વાવેતર વિસ્તાર 11.56 લાખ હેકટર સુધી પહોંચે છે.જમીનની ફળદ્રુપતા ઘટવાનું મુખ્ય કારણ વધુ પડતા રાસાયણિક ખાતરો, ઓર્ગેનિક પદાર્થનો અભાવ, માટી ધોવાણ, સેન્દ્રીય કાર્બનની કમી અને અતિ સિંચાઈ છે. પરિણામે પાક ઉત્પાદન ઘટે છે, ખર્ચ વધે છે અને ખેડૂતોની આવક પર અસર થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ જમીન ચકાસણી, સેન્દ્રીય પદ્ધતિઓ, પાક ફેરબદલી, પાણી સંરક્ષણ અને પોષણ મેનેજમેન્ટ જેવી ટકાઉ પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે.જિલ્લામાં છેલ્લા વર્ષોમાં જમીન વિકાસ, સિંચાઈ સુવિધા અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે, 2050 સુધીમાં 30 ટકા ખેતીલાયક જમીનમાં નુકસાન થવાની ચેતવણીથરાદની બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીના જમીન વૈજ્ઞાનિક ડો.દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું કે, જમીનને જીવંત રાખવી માત્ર ખેતી માટે નહીં પરંતુ માનવ આરોગ્ય અને ખોરાક સુરક્ષાના વૈશ્વિક હિત માટે આવશ્યક છે. જમીનની ગુણવત્તા અને ખેતીલાયક જમીનના ઘટાડાનો મુદ્દો વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ 2050 સુધીમાં વિશ્વની 30 ટકા જેટલી ખેતીલાયક જમીન નષ્ટ થવાની શક્યતા છે, જે ખોરાક સુરક્ષા અને આબોહવા સંતુલન માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીથી મળેલ લાભ થરાદ તાલુકાના નાની પાવડ ગામના ખેડૂત હરસેંગભાઈ માધાભાઈ પટેલે તેમની જમીનની તપાસ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરાવી હતી. લેબોરેટરી ટીમ દ્વારા આપવામાં આવેલી વૈજ્ઞાનિક ભલામણોના આધારે તેમણે ખાતરનો ઉપયોગ માત્ર જરૂરી અને યોગ્ય પ્રમાણમાં કરવાનું શરૂ કર્યું, જેના કારણે પ્રતિ એકર રૂ. 4,000થી 5,000 જેટલો અર્થસહાય બચાવ થયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ખેતરો તળાવમાં ફેરવાયા‎:નવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં‎15 જ દિવસમાં ભંગાણ

સરહદી વાવ–થરાદ જિલ્લામાં કેનાલ તૂટવાના સતત બનાવોથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે અને સિંચાઈ વિભાગની ખામીઓ ફરી એકવાર બહાર આવી છે. ત્યારે નવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 જ દિવસમાં ભંગાણ થતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. વાવ–થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં આવેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાતા આજુબાજુના ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા છે. બે મહિના અગાઉ આવેલા પૂર દરમિયાન આ કેનાલ તૂટી ગઈ હતી. ત્યારબાદ તંત્ર દ્વારા નવેસર બનાવેલ આ કેનાલને પાણી છોડ્યા બાદ માત્ર 15 દિવસ પણ પૂરાં થયા નથી અને કેનાલ ફરી તૂટી જતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરી હલકી કક્ષાનું મટિરિયલ વાપરી માત્ર દેખાવ પૂરતું કામ કરવામાં આવ્યું હતું. તેથી જ એક મહિનાની અંદર નવી બનેલી કેનાલમાં ફરીથી ભંગાણ થયું છે. ખેડૂતોનો પ્રશ્ન એ છે કે સરકારના રુપિયાનું એંધાણ કરવા છતાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી? આ બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર અજયભાઈ હઠીલાને સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું હતું કે કેનાલમાં અગાઉ પૂરના કારણે નુકસાન થયું હતું અને એક મહિના પહેલા જ પુનઃનિર્માણ કરવામાં આવી હતી. પરંતુ પાણીના ઓવરફ્લોના કારણે ફરી તૂટી ગઈ હોવાનું જણાવ્યું. રડોસણ કેનાલમાં 10‎ફૂટનું ગાબડું પડ્યું‎નવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ભંગાણ પડ્યું હતું. રાણાજી વેંજીયા રડોસણ કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું સુઈગામ તાલુકાના રડોસણ માયનોર-4 કેનાલમાં બુધવારે બપોરે 10 ફૂટથી વધુનું ગાબડું પડતાં નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. તાજેતરમાં જ વાવેતર કરનાર ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, બીજ જમીનમાંથી બહાર આવે તે પહેલાં જ ખેતરો પાણીથી છલકાતા વાવેલા બીજ સડી જવાની શક્યતા ઊભી થઈ છે.તેઓએ નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને આ ઘટના માટે જવાબદાર ઠેરવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

જય અંબેના નાદથી અંબાજી મંદિર પરિસર ગુંજ્યો:માગશરી પૂનમે અંબાજી શ્રદ્ધાળુઓથી ઉભરાયું મુખ્ય મંદિરને આકર્ષક શૃંગારથી સુશોભિત કરાયું

માગશરી પૂનમના પાવન પર્વ નિમિત્તે શક્તિધામ અંબાજી ખાતે અઢળક શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. વહેલી પરોઢેથી જ માતા અંબાની મંગળા આરતીના દર્શન માટે નિત્ય પુનમિયા સહિત યાત્રિકોની લાંબી કતારો જોવા મળી હતી.પૂનમના દિવસે વધતી ભીડને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ દર્શન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મુખ્ય મંદિરને આકર્ષક શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આ તરફ, દર્શનાર્થીઓ અને પદયાત્રીઓના “જય અંબે, જય અંબે”ના જયનાદથી સમગ્ર અંબાજી મંદિર પરિસર ગુંજ્યો હતો. મા અંબાના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ શક્તિપીઠ ગબ્બર પર સ્થિત માતા શક્તીની અખંડ જ્યોતિના દર્શન ચૂકતા નથી. પરિણામે ગબ્બર પર પણ નોંધપાત્ર ભીડ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

પ્રસૂતાનું કરૂણ મોત:સાતમી બાળકી અવતરતાં આઘાતમાં‎ માતાનું હ્દય બેસી જતાં મોત નીપજ્યું‎

ભાસ્કર ન્યૂઝ।પાલનપુર પાલનપુર તાલુકાના ચિત્રાસણી પી. એચ.સી.માં બુધવારે રાત્રે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામની પ્રસૂતાને લાવવામાં આવી હતી. જ્યાં બાળકીને જન્મ આપ્યા પછી મહિલાનું મોત થયું હતુ.સાતમી બાળકી જન્મતાં આઘાતમાં માતાનું હ્દય બેસી જતાં મોત થયાનું બહાર આવ્યું છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બુધવારે રાત્રે અમીરગઢ તાલુકાના ધનપુરા (વીરમગામ)ના સવિતાબેન દિતાભાઇ ડાભી (ઉ.વ.40)ને પ્રસૂતિ માટે લવાયા હતા. જ્યાં મોડીરાત્રે નોર્મલ ડિલેવરી થતાં પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે, તે પછી વહેલી સવારે સવિતાબેનનું મોત થયું હતુ. જેમના મૃતદેહને પીએમ રૂમમાં રખાયો હતો. દરમિયાન ગુરૂવારે સાંજે મૃતક સવિતાબેનના સાસરીપક્ષ અને પિયરપક્ષના લોકો એકત્ર થયા હતા. તેમણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી. આથી પી.એમ. કર્યા વિના જ મૃતદેહ પરિવારજનોને પરત અપાયો હતો. આઘાતથી મોત થયું છે : તબીબમહિલાને 108 દ્વારા રાત્રે 1.00 કલાકની આસપાસ લવાયા હતા. જે પછી રાત્રે સવા બે કલાક આસપાસ નોર્મલ ડિલેવરી થઇ હતી. તંદુરસ્ત પુત્રીને જન્મ આપ્યો હતો. નોર્મલ પ્રસૂતી થયા પછી મહિલા ચાલીને રૂમમાં ગઇ હતી. જોકે, રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ મોત થયું હતુ. આ સાતમી પ્રસૂતી હતી. પ્રસૂતી પછી બ્લડ પ્રેશર, ધબકારા નોર્મલ હતા. જોકે વહેલી સવારે માનસિક આઘાતથી હ્દય બેસી જતાં મોત થયું હતુ.ડો. નિલ સોલંકી ( મેડીકલ ઓફિસર, ચિત્રાસણી પી.એચ.સી.) સાત દીકરી ઉપર દીકરાની રાહ જોતા હતા પરિવારમાં છ દીકરીઓ અવતરી હતી. સાતમી વખતે દીકરાની આશા હતી. પરંતુ તે પણ દીકરી જ જન્મી હતી. જોકે, મારી પત્નીનું નિધન થયું છે. આ અંગે આરોગ્ય વિભાગ કે પોલીસ મથકે કોઇ ફરિયાદ કે રજુઆત કરી નથી.: દિતાભાઇ ડાભી (મૃતકના પતિ)

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વઢવાણમાં ભર શિયાળે ચોમાસુ માહોલ:શિયાણીપોળ દરવાજે ગંદા પાણીની રેલમછેલ

વઢવાણ શહેરમાં ભૂગર્ભ ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. વઢવાણમાં સુવિધાને બદલે દુવિધા વધી છે. વઢવાણ નગરના પ્રવેશદ્વાર શિયાણી દરવાજો ગણાય છે. આ સ્થળે શાકમાર્કેટ, પાંજરાપોળ અને હાઇવે પસાર થાય છે. ત્યારે શિયાણીપોળ દરવાજા બહાર ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. આ રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા છે. આ અંગે ભાવેશભાઈ ચૌહાણ, દલવાડી રમેશભાઇ, દિલીપભાઈ વગેરેએ જણાવ્યું કે, આ રસ્તા પર ગટરોના ગંદા પાણી વારંવાર વહે છે. આથી વેપારીઓના ધંધાને અસર થાય છે. જ્યારે શાકભાજી લેવા આવતી ગૃહિણીઓના કપડા પણ ગંદા પાણીના કારણે ખરાબ થાય છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

નબળી કામગીરી:4 ગામોને જોડતો 3 કિમીના રસ્તા પર ખાડા, મોટાભાગનો ડામર તૂટ્યો

ચુડાના ઝોબાળા અને કરમડ ગામો વચ્ચેનો રોડ બિસમાર બની ગયો છે. 4 ગામોને જોડતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. મોટાભાગનો ડામર તૂટી ગયો છે. ચુડા તાલુકાના કરમડથી ઝોબાળા જતો માર્ગ ચીંથરેહાલ બની ગયો છે. ગ્રામજનોએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે છલાળા, બલાળા સહિત 4 ગામોને જોડતા માર્ગ ઉપર ભારે વાહનો ચાલવાને કારણે ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. સીમમાંથી પસાર થતા માર્ગમાં ખેતરોનું પાણી પણ આવે છે. મોટાભાગનો ડામર તૂટી ગયો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ કે નવિનીકરણ હાથ ધરવામાં આવે તેવી ચારેય ગામના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વેધર રિપોર્ટ:4 દિવસમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડીને 17 ડિગ્રીએ પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો છેલ્લા થોડા દિવસથી ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ફરી શિયાળાની ઠંડીએ જોર બતાવવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં ગુરૂવારે મહત્તમ તાપમાન 30 અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવાની ગતિ 10 કિમી ભેજ 51 ટકા રહ્યો હતો. જેની સરખામણી ચાર દિવસ પહેલાના તાપમાન સાથે કરીએ તો તા.30ના રોજ રવિવારે મહત્તમ તાપમાન 31.3 તેમજ લઘુતમ 20.0 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવાની ગતિ 5 કિમી અને ભેજ 56 ટકા રહ્યો હતો. આમ ચાર દિવસમાં હવાની ગતિ 5 કિમી વધી અને ભેજ 5 ટકા ઘટી જતા લઘુતમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 1.3 ડિગ્રી ઘટાડો થયો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

આગ લાગવાની ઘટના બની:વાઘેલા રોડ પર ડમ્પરમાં અચાનક‎ આગ લાગી, જાનહાનિ ટળી‎

સુરેન્દ્રનગરના વાઘેલા રોડ પર ડમ્પરમાં લઇ અચાનક આગ આગ લાગી હતી. જેમાં જોત જોતામાં આગ વધુ પ્રસરતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આથી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ કાબૂમાં લીધી હતી. આ બનાવમાં વાહનમાં સવાર બહાર નીકળી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી. સુરેન્દ્રનગર શહેરમાં આગના બનાવો દિવસે દિવસે વધતા જાય છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં ગુરૂવારે વઢવાણ વાઘેલા રોડપરથી પસાર થતા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગ પ્રસરતા આખી ધીમેધીમે આગ પ્રસરતા કાળા ડીંબાંગ ધુમાડાથી ઘેરાઇ ગયું હતું. આથી વાહન ચાલકોમાં નાશભાગ મચી હતી. વાહન ચાલકે સમય સૂચકતા વાપરી સવાર લોકો ઉતરી ગયા હતા. આ બનાવની જાણ કરવામાં આવતા મનપા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ઓફિસર દેવાંગ દુધરેજીયા, મેહુલભાઇ રાઠોડ, ફારૂકભાઇ, અજીતસિંહ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં ફાયર ટેન્ડર અને ફાયર ફાઇટર સતત પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી. આ બનાવામાં સૂચકતાને લઇ કોઇ જાનહાનિ થઇ ન હતી. ઇજા પણ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોક શર્કિટથી લાગ્યાનું અનુમાન છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વાહન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત:ચોટીલાના કાંધાસર જતા સાયલા પાસે લોડિંગ વાહન પલ્ટી, 17 ઈજાગ્રસ્ત

સાયલાના નવા સુદામડા પાસેથી પસાર થતા લોડિંગ વાહનના ચાલકે અચાનક સ્યિટરિંગ કાબૂ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું. નાના એવા કેરી લોડિંગ વાહનમાં બેઠેલા 17થી વધુ પહિલા અને પુરુષો રસ્તા વચ્ચે ફંગોળાઈ જતા રાડા રાડ જોવા મળી હતી. આ બાબતે આજુબાજુ જાણ થતા ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા અને સાયલા, ડોળીયા 108ને જાણ થતા 17 જેટલા ઈજાગ્રસ્તોને સાયલા દવાખાને પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 5 મહિલા અને 12 પુરુષ અને બાળકોને ઈજા થતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ધંધુકાના ભરવાડ સમાજનો પરિવાર ચોટીલાના કાંધાસર ગામે મામેરુ લઈને જતા તેવા સમયે અચાનક છોટા હાથી જેવું પીકઅપ વાહન પલટી મારી જતા લગ્નના મામેરા ભરવાનો ઉમંગ અકસ્મતના દર્દમાં ફેરવાયો હતો. આ બાબતે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ પરી હતી. ઈજાગ્રસ્તના નામ: બુધાભાઈ વિભાભાઈ મુંધવા, કરસનભાઈ હાગાભાઈ મુંધવા, રમેશભાઈ વિરમભાઈ મુંધવા, લખીબેન મશરૂભાઈ, ગોપાલભાઈ મશરૂભાઈ દિનેશભાઈ આલાભાઈ બરવાડ, જીલુબેન રત્નાબાઈ ભરવાડ, કૃણાલ રાજુભાઈ બામ્બા, વિરમભાઈ વિહાભાઈ મુંધવા, પ્રહીશભાઈ ખોડાભાઈ મુંધવા મુકેશભાઈ લક્ષ્મણભાઈ મુંધવા, કોમલબેન જીલુભાઈ લાયેલા, મનિષાબેન રાજુભાઈ લાંબા, મેહુલભાઈ ભુપતભાઈ ચૌહાલ, પ્રિયાંશી રાજુભાઈ લામકા, વિશાલભાઈ પનાભાઈ ભાખા, જગદીશાભાઈ પોપટભાઈ ભરવાડ. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણા સમયથી ગુજરાત રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં લોકોના મૃત્યુ સાથે ઈજાગ્રસ્ત થવાના કિસ્સાઓ પણ બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

દિવ્યાંગ રમતવીરોએ મેદાન ગજવ્યું‎:450 દિવ્યાંગ, 450 માનસીક ક્ષતી, 100 શ્રવણ‎ક્ષતી ધરાવતા ભાઈ- બહેનો વિવિધ રમતો રમ્યા‎

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના રમત ગમત અને સંસ્કૃતિક વિભાગ તેમજ પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવાકુંજના સંયુક્ત ઉપક્રમે યોજાએલ સ્પેશીઅલ ખેલમહાકુંભમાં 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી યોજાયો હતો. 1000થી વધુ દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો એથલેટીક્સ અને ચેસ સહિતની અનેક રમતોમાં કૌવત બતાવ્યું હતું. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લારમત વિકાસ કચેરી દ્વારા જિલ્લાના શારીરિક, માનસીક ક્ષતિ, શ્રવણ ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનો માટે તા.29 નવેમ્બર 4 ડિસેમ્બર સુધી દિવ્યાંગ ખેલમહાકુંભનુ આયોજન કરાયુ હતુ. જેમાં પ્રથમ દિવસે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજખાતે ભાઇઓ બહેનોની ચેસ રમાઇ. બીજા દિવસે એમ.પી.શાહ કોલેજના મેદાનમાં દીવ્યાંગો માટેના ખેલમહાકુંભમાં એથલેટીક્સ રમત રમાઇ હતી. જ્યારે તા.2-12-25ના રોજ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એથલેટીકસ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, 100 મીટર 200 મીટર એથલેટીકસ, વોલીસબોલ સહિત ભાઇઓ બહેનોની રમત રમાઇ હતી. જ્યારે તા.4-12-25ના રોજ 4 ટીમો વચ્ચે ક્રિકેટ યોજાઇ. આ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુઓએ 450થી વધુ દિવ્યાંગોએ ટ્રાયસીકલરેસ, વ્હિલચેર રેસ, દોડ, લાંબીકુદ, ઉંચી કુદ, ચકરફેંક, ભાલાફેંક તથા 450 માનસીકક્ષતી ધરાવતા અને 100 શ્રવણક્ષતી ધરાવતા રમતવીરોએ દોડ, વોક, લાંમ્બીકુદ, સોફ્ટબોલ થ્રો, બોચી, ગોળાફેંક, સાયકલીંગ રમતમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. આ આયોજન સફળ બનાવવા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ તથા આશીર્વાદ વિકલાંક ટ્રસ્ટ સાયલા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ સહિત ટીમે પ્રયાસ કર્યા હતા. ખેલમહાકુંભમાં યોજાયેલ રમતોપ્રથમ દિવસે ભાઈઓ-બહેનોની ચેસ, બીજા દિવસે એથલેટીક્સ રમત, તા.2 ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એથલેટીકસ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, 100 મીટર 200 મીટર એથલેટીકસ, વોલીસબોલ સહિતની રમતો, તા.4ના રોજ 4 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ભવ્ય પાટોત્સવનું આયોજન:ધ્રાંગધ્રામાં મસાણી મેલડી માતાજીના 8મા પાટોત્સવમાં 25 હજાર ભક્તો ઉમટ્યા

ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં મસાણી મેલડી માતાજીનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ ડાક ડમરૂ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના 25 હજાર જેટલાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં મસાણી મેલડી માતાજીનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારથી નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો બપોરના 12 કલાકે માતાજીના સાનિધ્યમાં મહાપ્રસાદ ધરાયો હતો. જેમાં ધ્રાંગધ્રા શહેરના તમામ સમાજના લોકોએ પારસાદનો લાભ લીધેલ હતો. જેમાં અંદાજીત 10થી 12 હજાર જેટલા ભક્તો એ લાભ લીધો હતો. માતાજીના આઠમા પાટોત્સવ નિમિત્તે ભવ્ય મહા આરતી મહાપ્રસાદ નવ ચંડી યજ્ઞ તથા રાત્રીના સમયે મુન્નાભાઈ રાવળ ભરતભાઈ કુઢીયા ભવ્ય ડાક ડમરૂ ની રમઝટ બોલાવી હતી ત્રણ દિવસ મા 25 હજાર થી વધુ ભકતોએ લાભ લીધો હતો. નવરંગા માતાજીના માંડવનુ આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વે સમાજના ભાઈઓ યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વિવાદ:ખેતરના શેઢા પાસે પાણીનો પાઈપ રાખવા બાબતે આધેડને માર માર્યો

વડીયાના અરજણસુખમાં ખેતરના શેઢા પાસે પાણીનો પાઈપ રાખવા મુદ્દે 52 વર્ષિય આધેડને પાડોશીએ માર માર્યો હતો. તેમજ ટાંટીયા ભાંગી નાખી મારી નાખવાની ધમકી આપ્યાની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. અરજણસુખમાં રહેતા બાબુલાલ રામજીભાઈ મોવલીયા (ઉ.વ.52)એ તેના પાડોશી ઘનશ્યામ રમેશભાઈ મોવલીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘનશ્યામની વાડી તેના શેઢે આવેલી છે. 2 ડિસેમ્બરના રોજ બાબુલાલ મોવલીયા સાંજના પોણા છએક વાગ્યે અરજણસુખ ગામે વાડીએ ગયા હતા. તે દરમિયાન ઘનશ્યામ મોવલીયાની પાણીની પાઈપના ફોર્સથી તેની જમીનમાં નુકશાન થતું હતું. આ અંગે તેને સમજાવતા ઘનશ્યામ મોવલીયા ઉશ્કેરાયો હતો અને બાબુલાલ મોવલીયાને લાકડાના બટકા વડે માર માર્યો હતો. ઉપરાંત ટાંટીયા ભાંગી નાખી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ એસ.એલ.જાડેજા વધુ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ફરિયાદ:દીકરીનો જન્મ થતા વહુને છુટાછેડા આપી દેવા સાસરિયાના મેણાટોણા

અમરેલીની પરણિતાને દિકરીનો જન્મ થતા સાસરીયાએ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. તેમજ મેણાટોણા માર્યા હતા. તેમજ પતિ અને સાસુએ પરણિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. ભાવનગરના દેસાઈનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા અને હાલ અમરેલીની ચાંદની ચોકમાં રહેતા જેનબબેન પઠાણ (ઉ.વ.25)એ પતિ ક્યુમ મુસ્તાક પઠાણ, સાસુ સુરૈયાબેન મુસ્તાક પઠાણ, સસરા મુસ્તાક પઠાણ, જેઠ સાજીશ મુસ્તાક પઠાણ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અઢી વર્ષથી 1-12-2025 સુધીમાં દિકરીનો જન્મ થવા અને છુટાછેડા આપી દેવા બાબતે સાસરીયાએ મેણાટોણા માર્યા હતા. તેમજ જેનબબેન પઠાણને શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. તેમજ ક્યુમ પઠાણ અને સુરૈયાબેન પઠાણે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે જેનબબેને ભાવનગર રહેતા સાસરીયા વિરૂદ્ધ અમરેલી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ જે.આર.સરવૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

દુર્ઘટના:સગાઈ માટે જતા ચાપરાજપુરના પરિવારની રિક્ષાનો ધારીમાં કાર સાથે અકસ્માત : 9ને ઇજા

ધારીના ખીચા રોડ રેલવે સ્ટેશન પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રીક્ષામાં સવાર 9 લોકોને ઈજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેતપુરના ચાપરાજપુર રેલવે સ્ટેશન પાસે રહેતા નટુભાઈ કનુભાઈ ધામેચા (ઉ.વ.40) અને તેનો પરિવાર ચીમનભાઈ કનુભાઈ ધામેચાની રીક્ષામાં બેસીને 1 ડીસેમ્બરના રોજ સાંજના સાડા છએક વાગ્યે દેવળા ખાતે સગાઈના કામે જતા હતા. તે દરમિયાન ધારીના ખીચા રોડ રેલવે સ્ટેશન પાસે પહોંચતા અજાણ્યા કારના ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જોય હતો. અકસ્માતની આ ઘટનાને પગલે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. કાર અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નટુભાઈ કનુભાઈ ધામેચા, સીલુબેન નટુભાઈ ધામેચા, જય નટુભાઈ ધામેચા, હસ્તીબેન નટુભાઈ ધામેચા, પરેશભાઈ નાનજીભાઈ પાટડીયા, ચીમનભાઈ, દયાબેન, સાહીલભાઈ અને ક્યુભાઈને ઈજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સગાઈના પ્રસંગે જતા ધામેચા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અંગે અજાણ્યા કારના ચાલક સામે નટુભાઈ ધામેચાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો ધારીના ખીચા રોડ રેલવે સ્ટેશન પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો. અહીં ઘાયલોની મદદ કરવાની પણ કાર ચાલકે તસદી લીધી ન હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

તંત્ર નિંદ્રાધીન:રામપુરામાં દિવસની 50થી વધુ ST બસોની અવરજવર છતાં એસટી સ્ટેન્ડની ભંગાર હાલતથી મુસાફરો પરેશાન

રામપુરામાં દિવસ દરમિયાન 50થી વધુ બસોની અવરજવર હોવા છતાં એસટી પીકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ ઉઠવા પામી છે. રામપુરા-ભંકોડા એ દેત્રોજ તાલુકાનું મોટું વેપારી મથક ગણાય છે. આજુબાજુ ગામોના અનેક લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા આવે છે. મોટું વેપારી મથક હોવાને કારણે વિરમગામ, કડી સહિત એસટી ડેપો દ્વારા કડી માંડલ વિરમગામ, અમદાવાદ, બહુચરાજી, શંખેશ્વર સહિત સ્થળો પર જવા આવવા માટે દિવસ દરમિયાન 50થી વધુ બસોની અવરજવર રહે છે. જેથી મોટા પ્રમાણમાં મુસાફરો પણ અવર-જવર કરે છે. વર્ષોથી ખંડેર બનેલું એસટી પીકઅપ સ્ટેન્ડ એસટી નિગમ દ્વારા બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નટુભાઈ ભટ્ટ પૂર્વ પ્રમુખ રામપુરા રેલ્વે એસટી પેસેન્જર એસોસીયેસને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 1985માં એસટી નિગમ દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એસટી બસ સ્ટેન્ડનું સામાન્ય રીનોવેશન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી બસ સ્ટેન્ડ ભંગાર હાલતમાં છે. ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ પણ કરવામાં આવી છે. સત્વરે નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ ઉઠવા પામી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

જિલ્લામાં પાક નુકસાન સહાય:અત્યાર સુધીમાં 44,000 ખેડૂતને 153 કરોડ સહાય અપાઈ, હજુ 26703ની અરજી બાકી

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકશાન સહાય માટે 14 નવેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ કરાયું હતું. જેનો છેલ્લો દિવસ 29 નવેમ્બર હતો. ત્યારે સરકારે બાકી રહેતા ખેડૂતો ફોર્મ ભરવાનું રહી ન જાય તે માટે 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની તારીખ લંબાવી હતી. ત્યારે ગુરૂવાર સુધીમાં જિલલાના 1,90,160 અરજી આવી હતી. જ્યારે 44000 ખેડૂતોને 153 કરોડ સહાય ચૂકવાયાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબરમા સપ્તાહમાં પડેલા 308 મીમી કમોસમી વરસાદમાં 507250 હેક્ટર ચોમાસુ ધોવાઇ ગયો હતો. હાલ સરકારે 10 હજાર કરોડ સહાય જાહેર કરી જેના ફોર્મ ભરવાનું 14 નવેમ્બરથી શરૂ થયું હતું. જેની 29 તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ જાહેર કરાયો હતો. ત્યારે અનેક ખેડૂતો હજુ ફોર્મ ભરવાના બાકી હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ ફોર્મ ભરવાની તારીખ લંબાવી 5 ડિસેમ્બર કરાઇ હતી. ત્યારે ખેડૂતોએ ફોર્મ ભરવા દોડધામ કરી રહ્યા છે. ભાસ્કર એક્સપર્ટબિલ બનતા જાય તેમ પેમેન્ટ થાય જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.આર. પરમારે જણાવ્યું કે ગુરૂવાર સુધીમાં જિલ્લામાં 1,90,160 ફોર્મ ભરાયા છે. ત્યારે પેમેન્ટ પણ ચાલુ થઇ ગયું છે. જેમાં સિસ્ટમ જનરેટેડ છે જેમ લોટ બિલ બનતા જાય તેમ પેમેન્ટ કરતા જાય છે. અત્યાર સુધીમાં 44000 ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 153 કરોડની સહાય ચૂકવાયાનું જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ 2,16,863 ખેડૂતો નોંધાયેલા છે. હજુ જિલ્લાના 26,703 ખેડૂતો બાકી હોવાનું સામે આવ્યું છે. આજે છેલ્લા દિવસે કેટલી અરજી થાય જિલ્લામાં તે માટે ખેડૂતોએ દોડધામ ચાલુ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ગૌરવની વાત:ડોટેડ પેટર્ન ‘દાણા’ માટે જાણીતી ટાંગલિયા કળાને જીઆઈ ટેગ મળ્યો

ઝાલાવાડ ટાંગલિયા કલાને કારીગરો સાચવી રહ્યા છે. વઢવાણ તાલુકાના ગામડાના કારીગરે બનાવેલો શર્ટ બોલિવૂડ સ્ટારે પહેરીને ચાર ચાંદ લગાવ્યા છે. આ કલા જીઆઇ ટેગ મળ્યો છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની સમૃદ્ધ ઔદ્યોગિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષમતાને વિશેષ રીતે ઉજાગર કરશે. ગુજરાતની 700 વર્ષ જૂની હાથશાળ કલા - ટાંગલિયા તેના વિશિષ્ટ ઊભા કરેલા ડોટેડ પેટર્ન ‘દાણા’ માટે વિશ્વભરમાં જાણીતી છે. જિલ્લાના ડાંગાસિયા સમુદાય દ્વારા પેઢી દર પેઢી સંરક્ષિત કરવામાં આવેલી આ કલામાં તાણા–પેટામાં વધારાના વેફ્ટ દોરાને સૂક્ષ્મતા અને ચાતુર્યપૂર્વક ફેરવી વિવિધ ભૌમિતિક આકૃતિઓ વણી કાઢવામાં આવે છે. આ ટેકનિકની દુર્લભતા, ચોકસાઈ અને ઊંડા સાંસ્કૃતિક મહત્વને કારણે ટાંગલિયાને પ્રતિષ્ઠિત ભૌગોલિક સંકેત (GI) દરજ્જો મળ્યો છે. આ વૈશ્વિક પુનર્જાગૃતિને આગળ વધારવામાં પદ્મશ્રી લવજીભાઈ પરમારનું યોગદાન અવર્ણનીય છે. યુવા પેઢીને આ વારસાથી જોડવા તેમણે સ્થાપિત કરેલું કોમન ફેસિલિટી સેન્ટર તાલીમ, ટેક્નિકલ માર્ગદર્શન અને બજાર સપોર્ટ પૂરો પાડીને કારીગરોને પ્રોત્સાહિત કરે છે. તેમણે આ કલાને ફરી જીવંત બનાવી, જેથી તેમને ‘ટાંગલિયાનો ત્રાંહાર’ જેનો અર્થ થાય છે. દેદાદરા ગામના રાઠોડ પરિવાર ને તાગલિયા કલા ને જાળવી રાખવા રાઠોડ મોહનભાઈ ને 2016માં રાજ્ય સરકાર, પુત્ર બળદેવભાઈ ને 2016માં રાષ્ટ્રપતિ એવોર્ડ, પુત્ર વધુ વિધાબેન બળદેવ ભાઈ ને 2019માં રાજ્ય સરકારે એવોર્ડ મળ્યો છે. 1 શર્ટ બનાવતા 20થી 25 દિવસ થાયઅમારા દ્વારા બનાવેલો ટાંગલિયા શર્ટ હોલિવૂડ ફિલ્મ ‘F1’માં પ્રખ્યાત અભિનેતા બ્રેડ પિટ દ્વારા પહેરાતા, આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતની કારીગરીને સ્થાન મળ્યું છે. આ શર્ટ બનાવતા 20થી 25 દિવસ થાય છે. અમો કાલે અમદાવાદ જીએમડીસી મેદાનમાં ભાગ લઇશું. > બલદેવ મોહનભાઈ રાઠોડ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વૈશ્વિક બજારો સાથે જોડી સશક્ત મંચ પૂરો પાડશેસ્થાનિક કારીગરો, યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને સાંસ્કૃતિક રાજદૂતોને એક જ મંચ પર લાવી, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માત્ર આર્થિક સમૃદ્ધિ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક આત્માને ઉજવણી આપતી એક અનોખી પહેલ બની રહેશે. પ્રગતિ ત્યારે જ શ્રેષ્ઠ બને છે, જ્યારે તે સમુદાયોને સશક્ત બનાવે છે, વારસાને સંરક્ષે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

SIR:16 ડિસેમ્બરની યાદીમાં 18,000 નામ કપાવાની શક્યતા‎

સુરેન્દ્રનગર જિલ્લામાં 14.80 લાખથી વધુ મતદારોની મતદાર યાદી સુધારણાની એસઆઈઆર પ્રક્રિયા ચાલુ છે. જેમાં 3 તબક્કા પુરા થયા બાદ 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ જાહેર કરાશે. આ યાદીમાં 18,000થી વધુ મતદારોના નામ કપાવાની શક્યતા સેવાઈ રહી છે. વર્ષ 2002ની યાદીમાં નામ હોવા છતાં મેપિંગ નહીં થતા આવા હજારો મતદારોને ડોક્યુમેન્ટ આપી જવા નોટિસો આવશે તેવી પણ ભીતિ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 1518થી વધુ બીએલઓ દ્વારા વર્ષ 2002ની યાદી સાથે 14.80 લાખ મતદારોની સરખામણી કરીને નવી મતદાર યાદી તૈયાર કરાઈ રહી છે. જો મતદારનું નામ 2002માં હોય તો તેનું મેપિંગ સરળતાથી થઈ જાય છે પણ અમુક કિસ્સાઓમાં નામની જોડણી અલગ હોય અથવા એપ્લિકેશનની એરર કે જો મેપિંગ નહીં થાય તો આ ડોક્યુમેન્ટ આપવા પડશે. ભાસ્કર નોલેજજો મેપિંગ નહીં થાય તો આ ડોક્યુમેન્ટ આપવા પડશે‎કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિનુ નામ 2002 ની યાદીમાં હોય તો બાકીના સભ્યોને ઓનલાઇન પ્રક્રિયા દ્વારા મૂળ સભ્ય સાથે જોડી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને મેપિંગ કહે છે. જો આખા કુટુંબ માથી કોઈનું નામ 2002 ની યાદીમાં ન હોય અથવા 2002 માં નામ હોવા છતાં ટેક્નિકલ કારણોથી મેપિંગ ન થાય તો પિતાનો જન્મનો પુરાવો અથવા આપેલ યાદીમાંથી કોઈ ડોક્યુમેન્ટ બી.એલ.ઓ.ને આપવાનું રહેશે. વેબસ ઈટના સર્વર ડાઉન હોવાના લીધે મતદારનું નામ 2002માં હોવા છતાં મેપિંગ થતું નથી. આથી આખા વિધાનસભા ક્ષેત્રમાં 18000થી વધુ મતદારોએ ચુટણીપંચે નક્કી કરેલ સમયસ માની અંદર આપેલ યાદી મુજબના ડોક્યુમેન્ટ બી. લ.ઓ અથવા સરકારી કર્મચારીને પહોંચ ડવાના રહશે. જો મતદાર સમયસર ડોક્યુમેન્ટ્સ નહીં આપી શકે તો તેનું નામ કાયમી મતદાર યાદીમાં નહીં આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 2002 પછી લગ્ન થયેલ મહિલાઓએ પોતાના પિયરના માતા- પિતાનો વિભાગ નંબર અથવા પિતાનું જન્મ પ્રમાણ રજુ કરવું પડશે તો જ નવી યાદીમાં નામ આવશે. જો કોઈ વ્યક્તિનુ મેપિંગ ન થાય તો 2002માં નામ હોવા છતાં તેને પિતાના જન્મના આધાર આપવા પડે. મહિલા મતદારોમાં જાગૃતિના અભાવે લગ્ન કરીને આવેલી બહેનો પિયરનો વિધા નસભા ક્રમાંક અથવા વિભાગ નંબર શોધવામાં બી.એ .ઓને સહકાર આપતી નથી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ત્વરિત કાર્યવાહી:રિક્ષામાં ભૂલી ગયેલા રૂ.2.50 લાખના સોના ચાંદીના દાગીના અને કપડાં ભરેલ બેગને શોધી મૂળ માલિકને પરત કરાઇ

વડોદરા ખાતે રહેતા કમલ શભાઈ ગોપાલભાઈ સુદ્રા પોતાના પરિવાર સાથે વડોદરા રેલ્વે સ્ટેશન થી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદર આવેલ અને પોરબંદર રેલ્વે સ્ટેશનથી રીક્ષામાં બેસી બોખીરા ગયેલ અને ત્યાર બાદ તેઓના ધ્યાન આવેલ કે તેમનું ટ્રોલી બેગ ગુમ થયેલ છે.જેથી પોરબંદર રેલ્વે પોલીસ ચોકી ખાતે આવી જાણ કરતા સી.સી.ટી.વી. કેમેરા તપાસી તેમજ હ્યમન સોર્સીથી બેગની તપાસ કરતા રીક્ષા ચાલક રામભાઇ લખમણભાઇ મોરીની રીક્ષામાં બેસી બોખીરા ગયેલ હોવાની જણાતા રીક્ષા ચાલકની શોધખોળ કરી ટ્રોલી બેગ પરત મેળવેલ હતી. જે ટ્રોલી બેગમાં બે તોલા સોનાનું મંગલ સુત્ર તેમજ ચાંદીનો જુડો તેમજ ચાંદીની વીંટી તથા દશ જોડી નવા લેડીસ કપડા હતા જે કુલ કિમંત રૂ.2,50,000/- સામાન સાથેનું ટ્રોલી બેગ કમલેશભાઈ ગોપાલભાઈ સુદ્રાને તેરા તુજકો અર્પણ અંતરગત સુપ્રત કરેલ હતું.આ કામગીરીમાં એ.એસ.આઇ. અમિતભાઈ પરબતભાઈ સદિયા,પો.હેડ કોન્સ. રણજીતભાઈ મૂળ ભાઈ સિંધવ, પો.હેડ કોન્સ. કેતનગીરી મનસ, ખગીરી ગોસ્વામી, આર.પી.એફ. એ.એસ.આઇ. વિનયકુમાર દહીયા જોડાયા હતા. બેગ ગુમ થયેલ પરિવારના 45 જેટલા સભ્યો તેમના મૂળ ગામમાં લગ્નપ્રસંગ હોવાથી બોખીરા થઈ જવા માટે પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેઈનમાં આવ્યા હતા.તે દરમ્યાન એક બેગ ગુમ થયું હતું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ભાસ્કર એનાલિસિસ:જામનગર બ્રાસ ઉદ્યોગમાં 70 ટકા આયાત સામે માત્ર 20 ટકા જ નિકાસ, આર્થિક અસર

ભારતના ઈતિહાસમાં ડોલરની સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર થતાં જામનગરમાં આવેલા બ્રાસ ઉઘોગોને સીધી તથા આડકતરી અસરો જોવા મળવાની ચિંતા ઉભી થઈ છે. બ્રાસ ઉઘોગ ઉપર પહેલા જ કોમોડીટીની વોટાચાલીટીની અસર અને ટેરીફના કારણે જામનગરના બ્રાસ ઉઘોગને કમર ભાંગી છે. દર મહિને 20 થી 25 હજાર મેટ્રીક ટન બ્રાસ સ્ક્રેપ ઈન્પોર્ટ કરે છે. તો તેની સામે એક્સપર્ટ (નિકાસ) ઘટી રહ્યો છે. જેથી બ્રાસ ઉઘોગને મોટો ફટકો પડવાની તૈયારીઓ શરૂ થઈ છે. જામનગર શહેર અને જીઆઈડીસીમાં બ્રાસ ઉઘોગ સાથે 4000થી વધુ કારખાનેદારો સંકળાયેલા છે. બ્રાસ સ્ક્રેપનો 70 ટકા વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ ડોલરની સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર થયો છે. ડોલર સામે રૂપિયો ગબડતા જામનગર સહિત દેશભરમાં ઈન્પોર્ટ-એક્સપર્ટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને સીધી કે, આડકતરી રીતે અસર થઈ રહી છે. ત્યારે જામનગરમાં આવેલા 4000થી વધુ કારખાનેદારો બ્રાસ સ્ક્રેપ, મેટલ સહિતનો 70 ટકા માલ અમેરીકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશોમાંથી ખરીદી કરવામાં આવે છે. પરંતુ તેની લેવડ-દેવડ તો ડોલરમાં જ કરવી પડે છે. હાલ જામનગરનું બ્રાસ ઉઘોગ જ દર મહિને 20 થી 25 હજાર મેટ્રીક ટન બ્રાસ અને મેટલની આયાત કરે છે. તો તેની સામે નિકાસ માત્ર 20 ટકા જેટલી જ છે. અમેરીકામાં તો માત્ર 7 ટકા જેટલો જ માલની નિકાસ થાય છે. જેથી ડોલર સામે રૂપિયો ગગડતા સીધી કે આડકતરી રીતે જામનગરની બ્રાસ ઈન્ડસ્ટ્રીઝને મોટી અસર કરે છે. જામનગરના બ્રાસ ઉઘોગ સાથે સંકળાયેલા વેપારીઓને નફામાં ખોટ ખાવી પડશે. હજુ તો શરૂઆત જ છે એટલે વધુ અસર દેખાતી નથી. પરંતુ આગામી દિવસોમાં બ્રાસ ઈન્ડસ્ટ્રીઝને મોટી અસર થશે. તેમ બજારના એનાલીસ્ટો જણાવી રહ્યા છે. ડોલરની સાથે-સાથે પાઉન્ડ, યુરો અને યેન ચલણમાં પણ ઉછાળો જોવા મળતા તે પણ સીધી કે, આડકતરી રીતે આયાતને અસર કરે છે. જેથી વિદેશી ચલણ સામે રૂપિયો નબળો પડતા બ્રાસ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડી રહ્યો હોવાનો જાણકારો જણાવી રહ્યા છે. આયાત સામે અમેરિકામાં ઉંચા ટેરીફના કારણે નિકાસ માત્ર 7 ટકાસોના-ચાંદીના ઉંચા વૈશ્વિક ભાવ તથા અમેરિકાના ટેરિફે ભારતની સ્પર્ધાતમકતા ઘટાડી દીધી છે. તેની પણ રૂપિયા પર અસર પડી હોવાનું અમુક વેપારીઓ જણાવે છે. તો ઉંચા ટેરિફને કારણે જામનગરના બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા માત્ર 7 ટકા જ નિકાસ થાય છે. અમેરિકાને ટેરિફના કારણે મોંઘી પડે છે. જેના કારણે અમેરિકાએ ભારતમાંથી આયાત ઘટાડી દીધી છે તેમ જાણકારો જણાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ધર્મોત્સવ:જામનગર શહેરમાં દિક્ષા લેનાર શાહ પરિવારના માતા-પિતા અને પુત્રનો વર્ષીદાનનો વરઘોડો

જામનગરમાં મુળ શિહોર વાળા શાહ પરીવારના 10 વર્ષના પુત્ર અને તેના માતા-પિતા દિક્ષાગ્રહણ કરશે, ગુરૂવારના દિક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો. આવતીકાલે તેમનો દિક્ષાગ્રહણ સમારોહ શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોર્ડીગ સંકુલ જામનગર ખાતે યોજાશે. આ પરિવારના 9 જેટલા સભ્યોએ પણ અગાઉ દીક્ષા લીધી છે. શહેરના 46 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નંદીશભાઇ શાહ તથા તેમના પત્ની ધારીણીબેન શાહ અને તેમના પુત્ર તિર્થ શાહ આ ત્રણેય કુટુંબીજનો દિક્ષાગ્રહણ કરવા જઇ રહ્યા છે. જામનગરના આંગણે આગામી તા.5મીએ લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકૃતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ બોર્ડિંગ સંકુલમાં શિહોરવાળા શાહ પરિવારનું દંપતિ અને 10 વર્ષનો પુત્ર શુક્રવારે આચાર્ય પુર્ણચંદ્ર સાગરસુરીજી મહારાજ, આચાર્ય અપુર્વચંદ્રસાગરસુરીજ ી મહારાજ, આચાર્ય આગામચંદ્રસાગરસુરીજી આદિ ગુરુજનોની નિશ્રામાં સંસાર ત્યાગ કરી રહ્યા છે. દિક્ષાર્થીઓનો વરઘોડો આજે સવારે ચાંદી બજારેથી નિકળ્યો હતો. તે સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, ટાઉન હોલ, લાલબંગલાથી ક્રિકેટ બંગલા થઈને શેઠ જૈન બોર્ડીગ સંકુલ ખાતે પહોચ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન-જૈનતરો તેમજ સાધુ અને સાધ્વીજીઓ જોડાયા હતા. આ સાથે પાંચ સભ્યોના એક આખા પરિવારના દીક્ષા ગ્રહણની ઘટના આકાર લેશે. કારણકે, દંપતિની પુત્રી અને એક પણ 2022માં સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુક્યા છે. આ પ્રસંગે આશીર્વચનો આપવા ગુરુ મહારાજોનું જામનગરમાં આગમન થતાં તેઓનું ગઈકાલે રવિવારે સામૈયું યોજાયું હતું. દિક્ષાર્થીઓના પરિવારજનો અગાઉ દિક્ષા લેનારાઓનું આગમનજામનગરમાં નાંદીશભાઈ અને તેના પત્ની, પુત્રની દીક્ષા ગ્રહણના સાથી બનવા આજે જામનગરમાં તેઓના એક સમયના સંસારી સંગાઓ એવા મુનિ ગુણશેખર વિજયજી મહારાજ (ભત્રીજા), મુનિ અમમચંદ્રસાગરજી (ભત્રીજા), મુનિ અક્ષતચંદ્રસાગરજી (2022માં દીક્ષા લેનાર સંસારી ચૈત્ય નામહતુંતે), મુનિ આર્જવચંદ્રસાગરજી (મોટાભાઈ), સાધ્વી વતનંદિતાશ્રીજી મહારાજ (બહેન), જિનાંગવતાશ્રીજી (માતા), સાધ્વી હેમર્પિપિયાશ્રીજી (ભત્રીજી), સાધ્વી વિશ્વવતાશ્રીજી (2022માં દીક્ષા લેનાર સંસારી નામ વીરાલી હતું તે) તેમજ હેમધિપિયાશ્રીજી (ભાભી)નું જામનગરમાં આગમન થયું છે. આ પૂર્ણ પરિવારજનો પોતાના આત્મિયોના સંસાર ત્યાગના સાક્ષી બનશે. જૈન સમાજમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર‎:હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ માટે ઓટીપી ચકાસણી ફરજિયાત

પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકીટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ્રવાસી બુકિંગ સમયે આપશે. ઓટીપી સફળ સત્યાપન થયા બાદ જ ટિકિટ આપવામાં આવશે. આ ઓટીપી આધારિત તત્કાલ ચકાસણી સિસ્ટમ શરૂઆત માં ટ્રેન નંબર 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ પર 05 ડિસેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવશે. નવી સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ પી.આર.એસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈ આર સી ટી સી વેબસાઇટ તથા આઈ આર સિટીસી મોબાઇલ એપ દ્વારા થતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ પહોંચાડવાનો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વાતાવરણ:જામનગરમાં લઘુતમ પારો આંશિક ઉંચકાયો, ઠંડી યથાવત

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે જ્યારે કોઈપણ જાતના વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન નો પારો 28.5 ડિગ્રી એ સ્થિર રહ્યો હતો. ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષાનો દોર ચાલી રહ્યોછે, જેના પગલે જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો માઈનસમાં ચાલ્યો ગયો છે. હિમાલય પરથી આવતા પવનના પગલે ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતના હિમ જેવા ઠંડા પવનના પગલે હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં હવે ઠંડીમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાંજથી જ ઠંડક પ્રસરવા લાગી હતી. નગરસિમ અને ગ્રામ્ય વિસ્તારો તથા હાઈવે પર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ના પારામાં આંશિક વધારો નોંધાતા ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયો હતો જ્યારે મહત્તમ તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર વગરમહત્તમ તાપમાન 28.5 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 11 ટકા ઘટીને 70 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 5થી 15 કિ.મી.ની રહેવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

સુવિધાઓનો તાગ મેળવ્યો‎:રેલવેના જનરલ મેનેજરે જામનગર સ્ટેશનનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું, સૂચનો આપ્યા

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે જામનગર રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું હતું જેમાં ઉપલબ્ધ મુસાફર સુવિધાઓનો પણ વિગતવાર તાગ મેળવ્યો. આ ઉપરાંત હાપા–જામનગર સેક્શનનું વિન્ડો ટ્રેઇલિંગ નિરીક્ષણ પણ કર્યું. આ સાથે જ કર્મચારીઓને જરૂર જણાય તે આ વિશેષ સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ વિવેક કુમારગુપ્તાએ જામનગર અને મોરબી રાજકોટ ડિવિઝનના રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે આ રેલવે ખંડમાં સેફટી અને સુરક્ષા ધોરણો, માળખાકીય વિકાસના કાર્યો, મુસાફરોની સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને અન્ય પ્રગતિના કાર્યોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું. જનરલ મેનેજરની સાથે વિવિધ વિભાગોના મુખ્ય વિભાગીય વડાઓ, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, અન્ય વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. પોતાના વાર્ષિક સેફટી નિરીક્ષણ દરમિયાન, ગુપ્તાએ લેવલ ક્રોસિંગ, મહત્ત્વપૂર્ણ મોટા અને નાના પુલો, સેક્શનલ સ્પીડ ટ્રાયલ, પોઈન્ટ અને ક્રોસિંગ સહિત વિવિધ સેફટી તત્ત્વોનું ઊંડું નિરીક્ષણ કર્યું અને તેમણે મોરબી, રાજકોટ અને જામનગર સ્ટેશનો પર ઉપલબ્ધ મુસાફર સુવિધાઓનો પણ વિગતવાર તાગ મેળવ્યો. તેમણે રેલવે સ્ટેશન ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ બિલ્ડિંગ, રિલે રૂમ, ગાર્ડ અને ડ્રાઇવરોના રનિંગ રૂમ, કોમ્યુનિટી હોલ, ટ્રેડર્સ રૂમ, ગુડ્સ શેડ અને ઇલેક્ટ્રિફિકેશન સંબંધિત ઓવરહેડ ઇક્વિપમેન્ટ ડેપોનું નિરીક્ષણ કર્યું. રાજકોટમાં ગુપ્તાએ રેલવે સ્ટેશન ઉપરાંત લોબી, રેલવે કોલોની અને રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી. રાજકોટ–હડમતિયા ખંડ વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ રન કરવામાં આવ્યો. જાળિયાદેવાણીમાં તેમણે રેલવે કોલોનીનું નિરીક્ષણ કર્યું અને જનરલ મેનેજરે મુસાફરોની સેફટીને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવતાં સંબંધિત અધિકારીઓને ટ્રેક, સમપાર ફાટકો અને અન્ય સેફટી ધોરણોની વિગતવાર સમીક્ષા કરીને જરૂરી દિશાનિર્દેશો આપ્યા, જેથી ટ્રેન સેવાઓ વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને સમયસર સંચાલિત કરી શકાય.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ચકચાર:યુવાન પર અગ્રણીઓનો હુમલો, પત્નીને ધમકી

જામનગર શહેરમાં અગાઉ ઝઘડાના કેસનો ખાર રાખીને યુવાન ઉપર મુસ્લીમ સમાજના અગ્રણી પિતા-પુત્રએ હુમલો કરીને યુવાનની પત્નીને ધમકી આપ્યાનો વિડીયો વાયરલ થતાં ચકચાર વ્યાપી ગઈ છે. જામનગર મુસ્લિમ સમાજના બાવન જમાતના પ્રમુખ જુમાભાઈ ખફી અને તેના પુત્ર આરીફ ખફીના પાડોશમાં રહેતા મહિલા નર્મદાબેન જાદવ અને તેના પતિ એહમદ રજા સંધિ સાથે છેલ્લા દોઢ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. મહિલા દ્વારા અગાઉ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. કોર્ટમાં કેસ ચાલુ હોય, જે બાબતનો ખાર રાખીને ગત તા.30ના રોજ એહમદરઝાભાઈ મહમદહુશેનભાઈ નાઈ (ઉ.વ.36) નામના સંધિ બાઈક લઈને ચુનાનો ભઠ્ઠો ઢોલીયાપીરની દરગાહ પાસેથી પસાર થતો હતો. ત્યારે આરોપીઓએ કેમ સામુ જોવે છે તેમ કહીને કારમાંથી લાકડાના ધોકા કાઢીને મુસ્લીમ અગ્રણીઓએ હુમલો કરીને હાથમાં ઈજા પહોંચાડી હતી. બાદમાં યુવાનની પત્ની ઘરે હોવાથી ત્યાં જઈને હવે તુ અહીયા રહીને દેખાડ તથા ફરીને કહેલ કે હવે તારે વિડીયો ઉતારવા તે ઉતાર તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ફુડ વિભાગ એકાએક જાગ્યુ:ભવનાથ- સાસણમાં 36 પેઢીમાં‎ખાદ્ય સામગ્રીની ચકાસણી કરાઈ‎

જૂનાગઢમાં નાયબ મુખ્યમંત્રીની સુચના મળતા જ સૂતેલી હાલતમાં રહેતુ ફુડ વિભાગ એકાએક જાગ્યુ અને પ્રવાસન તેમજ યાત્રાધામના સ્થળ એવા ભવનાથ અને સાસણ વિસ્તારમાં કુલ 36 પેઢીઓમાં વસ્તુઓની ચકાસણી કરી વાસી ખોરાકનો નાશ કર્યો હતો. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યાત્રાધામ- પ્રવાસન સ્થળોની સફાઇ બાબતે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ખાણીપીણીની ક્વોલીટી ચેક કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા કલેકટરની સુચના મળતા જ જૂનાગઢ ફૂડ વિભાગના હેમલ દવે અને તેની ટીમ એકાએક જાગી અને ભવનાથ- સાસણ વિસ્તારમાં ફુડ ક્વોલીટીની તપાસ શરૂ કરી હતી. જેમાં 6-6 સભ્યોની બે ટીમ બનાવવામાં આવી હતી. જેમાં એક ટીમ ભવનાથ ખાતે કુલ 23 પેઢીમાં તપાસ કરી 22 કિલો વાસી ગ્રેવી, ખુલ્લો ખોરાક સહિતના જથ્થાનો નાશ કર્યો હતો તેમજ સાસણ ખાતે તપાસે ગયેલી ટીમ દ્વારા 13 પેઢીમાં તપાસ કરી 25 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો એમ ફુડ વિભાગના એસ.એસ. વ્યાસે જણાવ્યુ છે. ગીર સોમનાથમાં પણ તપાસનો ધમધમાટ રહ્યોગીર સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના યાત્રાધામમાં મંદિરની નજીકની હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલમાં ફુડ વિભાગની ટીમે તપાસ કરી વિવિધ ખાદ્ય એકમોમાંથી કાચા માલથી લઈને તૈયાર ખોરાક સુધીના નમૂના લીધા હતા તેમજ અમુક અખાદ્ય વસ્તુનો સ્થળ પર જ નાશ કર્યો હતો. તેમજ સ્વચ્છતા, હાઈજીન અને ફૂડ સલામતીના ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેની પણ વિગતવાર ચકાસણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

સુવિધા:આણંદમા મોબાઇલ ચાર્જીગ સહિત 23 જેટલી સોલાર બેન્ચીસ મુકાશે

આણંદ મનપાએ શહેરના તળાવ અને બાગ બગીચાની શોભા વધારવા માટે સોલાર બેન્ચીંસ મુકવાનો નિર્ણય કર્યો છે.ત્યારે પ્રાયોગિક ધોરણે શહેરના લોટેશ્વર તળાવમાં સોલાર બેન્ચીંસ મુકવામાં આવી છે. જેના થકી નાગરીકોને મોબાઇલ રીચાર્જ સહિત લાઇટની સુવિધા ઉપલબ્ધ વિના મૂલ્યે મળી રહેશે.જો કે શહેરીજનો મોબાઇલ ચાર્જ ઘરે ભૂલી જાય તો પણ યુએસબી સિસ્ટમ થકી પણ મોબાઇલ રીચાર્જ કરી શકશે. તેવી અલયાદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બાગબગીચા તળાવમાં મોબાઇલ ચાર્જની સુવિધાઓ નહીં હોવાથી હાલાકીઓનો ભોગ બનવું પડે છે. ત્યારે આણંદ મનપાએ 23 જેટલી સોલાર બેન્ચીસ મુકવાનો નિર્ણય કર્યો છે.જેને હાલમાં લોટેશ્વર તળાવના વોકવે પર બે સોલાર બેન્ચીંસ મુકવામાં આવી છે. આગામી દિવસોમાં જુદી જુદી જગ્યાએ મુકવામાં આવનાર છે. ખાસ કરીને સોલાર બેન્ચીંસ થકી શહેરીજનોને બેસવાની અને આરામદાયક રહશે.રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટોના બદલે રંગબેરંગી લાઇટો ઝગમગતી પણ જોવા મળશે.જેના ભાગરૂપે આણંદ મનપાએ લોટેશ્વર તળાવની ફરતે 33થી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ રાખવામા આવશે.જેનાથી તંત્રને લાઈટ બીલમા રાહત મળી શકે તેમ છે.આણંદ મનપાએ 23 જેટલી સોલાર બેન્ચીંસ મુકવામા આવનાર હાથ શહેરીજનોએ આવકાર દાયક ગણાવી અને ચર્ચાનો વિષય પણ બની ગયો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

શિક્ષક સામે ફરિયાદ:વડોદરાની વિદ્યાલયમાં ચાલુ કલાસમાં પીધેલી હાલતમાં બીભત્સ શબ્દનો ઉપયોગ કરનાર શિક્ષક સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પોલીસે શિક્ષકની અટકાયત કરી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એક વિદ્યાલયમાં શિક્ષક દ્વારા ચાલુ ક્લાસમાં બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેથી વાલીએ આ શિક્ષક સામે ફરિયાદ નોધાવતા પોલીસે શિક્ષકની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષકે ભણાવતી વેળા બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યોવડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વિદ્યાલયમાં વિનોદ સમસુ બારિયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન 4 ડિસેમ્બરના રોજ આ શિક્ષક ધોરણ 10માં કલાસ લઇ રહ્યા હતા. તે દરમિયાન ક્લાસમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીએ હાજર હતી. તે દરમિયાન આ શિક્ષકે ભણાવતી વેળા કોઇ બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પોલીસ દ્વારા આરોપી શિક્ષકની અટકાયત કરાઈશિક્ષક દ્વારા આ દ્વિભાશી શબ્દનો ઉપયોગ કરાતા વિદ્યાર્થિનીઓ પણ અવાક બની ગઇ હતી. જેથી તમામ વિદ્યાર્થિનીઓ પૈકી એક વિદ્યાર્થિનીની માતાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિનોદ બારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી શિક્ષકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:58 pm

દૈનિક 900 મે.ટન ગાર્ડન ગ્રીન વેસ્ટનો નિકાલ:ગાર્ડન વેસ્ટના નિકાલ માટે 1000 કિલો ક્ષમતાના ભારે વાહનો ફાળવવા નવી જોગવાઈ કરાશે

સુરત શહેરમાં ગાર્ડન વેસ્ટનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ઠેર ઠેર સોસાયટીઓના નાકા, ચાર રસ્તાઓ અને ડિવાઇડરો આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ન્યુસન્સ પોઈન્ટોમાં વધારો થયો છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનમાં અપૂરતા વાહનો અને ઈ-વ્હીકલોની ઓછી સંખ્યા સમસ્યાનું મુખ્ય કારણ છે. હાલમાં વપરાતા ઈ-વ્હીકલોની ક્ષમતા માત્ર 200 કિલો વેસ્ટ વહન કરવાની હોવાથી ગાર્ડન વેસ્ટનો નિકાલ ડોર-ટુ-ડોર ગાડીઓમાં થઈ શકતો નથી. આ સમસ્યાના નિરાકરણ માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ ગાર્ડન વેસ્ટના નિકાલ માટે 1000 કિલો ક્ષમતાના મોટા વાહનો ફાળવવાની જોગવાઈ કરવામાં આવનાર છે. ટેન્ડરની શરતોમાં ફેરફારસ્થાયી અધ્યક્ષ રાજન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાર્ડન વેસ્ટના નિકાલ માટે અગાઉ બહાર પડાયેલા ટેન્ડરમાં ચોથા પ્રયાસે પણ કોઈ કોન્ટ્રાક્ટર ક્વોલિફાય થઈ શક્યું ન હતું. આનું મુખ્ય કારણ ટેન્ડરની શરતમાં ગાર્ડન વેસ્ટના નિકાલનો અનુભવ ફરજિયાત રાખવામાં આવ્યો હતો, જેના કારણે ખાસ ટેન્ડરરો મળ્યા ન હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, હવે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાર્ડન વેસ્ટના અનુભવને બદલે અન્ય વેસ્ટ નિકાલના અનુભવોને પણ માન્ય ગણીને ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ફેરફારથી શહેરમાં ગાર્ડન વેસ્ટના નિકાલની કામગીરી ઝડપથી શરૂ થઈ શકશે. 1000 કિલો ક્ષમતાના ઈ-વ્હીકલ ફાળવવામાં આવશેનવી જોગવાઈ અનુસાર, ગાર્ડન વેસ્ટના નિકાલ માટે 1000 કિલો ક્ષમતાના મોટા ઈ-વ્હીકલ ફાળવવામાં આવશે. તમામ ઝોનમાં ગાર્ડન વેસ્ટ એકત્ર કરવા માટે ચોક્કસ પ્લોટ ફાળવવામાં આવશે. આ પ્લોટ પરથી એકત્ર થયેલો કચરો મોટી ગાડીઓ મારફત ટ્રાન્સફર સ્ટેશન સુધી લઈ જવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં બે ઝોનથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર તમામ ઝોનમાં આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. દૈનિક 900 મે.ટન ગાર્ડન-ગ્રીન વેસ્ટનો નિકાલમહાપાલિકા શહેરમાંથી દૈનિક 2200 મેટ્રિક ટન જેટલો કચરો ઉઠાવે છે, જેમાંથી 95 ટકાથી વધુ કચરાનું પ્રોસેસિંગ થાય છે. આ કુલ કચરામાં, ભીનો કચરો, ઓર્ગેનિક વેસ્ટ અને ગાર્ડન વેસ્ટ મળીને 900 મેટ્રિક ટન જેટલો હોય છે. લગભગ 200 ગાર્ડનોમાંથી આવતો વેસ્ટ અલગથી ઉઠાવવામાં આવે છે.ગાર્ડન વેસ્ટનો મુખ્ય ભાગ (લગભગ 4 ટન) કસ્તુરબા ગાર્ડન અને કતારગામ ઝોન ખાતે વર્મી કમ્પોસ્ટમાં રૂપાંતરિત થાય છે. માર્કેટ અને સોસાયટીઓમાંથી આવતા ઓર્ગેનિક વેસ્ટને પ્રોસેસ કરવા માટે 25થી વધુ યુનિટ માર્કેટોમાં અને 50થી વધુ યુનિટ સોસાયટીઓમાં વેસ્ટ કન્વર્ટર મુકાયા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:30 pm

આરોપીની ધરપકડનું કારણ ન જણાવતા મળ્યા જામીન:દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI અને બે ખાનગી વ્યક્તિ સામે 1 કરોડની લાંચ માગ્યાનો ગુનો નોંધાયો હતો

ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શિવકુમાર તેમજ બે ખાનગી નાગરિક ચિત્રેશ સુતરીયા અને સંજય પટેલ સામે અમદાવાદ ACB પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપી ચિત્રેશ સુતરીયા પાલડી અમદાવાદના રહેવાસી છે. જેની ધરપકડ થતા તેને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં ધરપકડ કરનાર અધિકારીએ એરેસ્ટ મેમોમાં આરોપીને ધરપકડનું કારણ ન જણાવતા સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કર્યો હોવાથી આરોપીને કોર્ટમાંથી શરતી જામીન મળી ગયા હતા. ગ્રાહકોના 17 પાસપોર્ટ સહિત અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરાઈ હતીકેસને વિગતે જોતા અમદાવાદના સીજી રોડ ખાતે આવેલી વિઝા કન્સલ્ટિંગની ઓફિસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક કેસ સંદર્ભે રેડ પાડવામાં આવી હતી. જેમાં ફરિયાદી પોતે પણ ત્યાં વિઝાનું કામ કરાવતા હતા. આ રેડમાં ફરિયાદી પાસે રહેલા ગ્રાહકોના 17 પાસપોર્ટ સહિત અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યાંથી ફરિયાદીને પકડીને નવરંગપુરા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં આરોપી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI શિવકુમારે મિત્ર સંજય પટેલ અને વિઝા કન્સલ્ટન્સી માલિકના મિત્ર ચિત્રેશ સુતરીયાને બંનેએ બોલાવ્યા હતા. બંને પક્ષે સમાધાન કરાવતો ફરિયાદીની ધરપકડ થઈ નહોતી. ફરિયાદમાંથી નામ કાઢવું હોય તો 1 કરોડ આપવા પડશેપરંતુ ASI શિવકુમારે દિલ્હી જઈને ફરિયાદીને હાજર થવા નોટિસ પાઠવી હતી અને સંજય પટેલ તેમજ ચિત્રેશ સુતરીયા મારફતે જણાવ્યું હતું કે, જો ફરિયાદમાંથી નામ કાઢી નાખવું હોય તો 1 કરોડ રૂપિયા આપવા પડશે. પરંતુ ફરિયાદીએ રૂપિયા ન આપતા તેનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરીથી ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ચાર્જશીટમાંથી નામ કાઢવા 80 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે સંદર્ભે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. આરોપી શિવકુમાર સતત પક્ષકારોના વોટ્સએપ કોલથી સંપર્કમાં હતો. લાંચના ટોકનના 10 લાખ મેળવવાની લાલચમાં સંજય અને ચિત્રેશ ACBના હાથે ઝડપાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:24 pm

સુરત ડાયમંડ માર્કેટ ફ્રોડ:મહંત ડાયમંડ્સ LLPઅને રસેષ વેલ્સ LLPના ભાગીદારની ક્રાઈમ બ્રાન્ચના ઇકો સેલ દ્વારા ધરપકડ

સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદેલા હીરાનું પેમેન્ટ ન ચૂકવવા બદલ મહંત ડાયમંડ્સ LLP અને રસેષ વેલ્સ LLPના એક ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. આ કથિત કૌભાંડની રકમ આઠ કરોડ રૂપિયાથી વધુ છે. 21 જુદા-જુદા વેપારીઓ પાસેથી કુદરતી હીરાનો માલ ખરીદ્યો હતોફરિયાદ મુજબ, આરોપી કંપનીઓએ સુરતના હીરા બજારના કુલ 21 જુદા-જુદા વેપારીઓ પાસેથી કુદરતી હીરાનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ તેઓએ પેમેન્ટ કર્યા વિના ઉઠામણું કરી માલ સાથે ફરાર થઈ ગયા હતા. કુલ બાકી રકમ 8,20,32,320 જેટલી મોટી છે. પીડિત હીરા વેપારીઓની રજૂઆતો બાદ, સુરત શહેરના પોલીસ કમિશનર તરફથી તાત્કાલિક FIR નોંધવાની સૂચના આપવામાં આવી હતી. અનિલભાઈ અરવિંદભાઈ હીરપરાની ફરિયાદના આધારે મહંત ડાયમંડ્સ એલએલપી અને રસેષ વેલ્સ એલએલપી ફર્મ તથા તેના ભાગીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મૂળ ફરિયાદમાં નામજોગ કરાયેલા આરોપીઓમાં જિતેંદ્રભાઈ ધનજીભાઈ કાસોદરીયા, રોનકકુમાર રાજેશભાઈ ધોળીયા અને કૌશીકકુમાર અમૃતલાલ કાકડીયાનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપીની ધરપકડગુનાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે અગાઉ અન્ય 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મુખ્ય ભાગીદારો પૈકીના એક, રોનકકુમાર રાજેશભાઈ ધોળીયા, જેની ઉંમર 36 વર્ષ છે, તે ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. આ બાતમીના આધારે કાર્યવાહી કરીને, ઇકો સેલે રોનક કુમારે પકડી પાડ્યો હતો. કતારગામ, સુરતના રહેવાસી આ આરોપીની કાયદેસરની કાર્યવાહી કરીને અટકાયત કરવામાં આવી છે. હાલમાં આ હાઈ-પ્રોફાઈલ ડાયમંડ માર્કેટ ફ્રોડ કેસની તપાસ ચાલુ છે અને સત્તાવાળાઓ આ ઓપરેશનની સંપૂર્ણ હદ જાહેર કરવા અને તેમાં સામેલ તમામ પક્ષોને ન્યાયના કઠેડામાં લાવવા માટે કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:23 pm

શિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે કલેકટર ભવનાથ પહોંચ્યા:મેળામાં ભાવિકોની સુવિધા માટે મોટો નિર્ણય; હોટેલ-ગેસ્ટ હાઉસના ટોયલેટ ખુલ્લાં રહેશે,ભવનાથ તળેટીની મુલાકાત લઈ સુવિધાઓ માટે અધિકારીઓને આપ્યા દિશાનિર્દેશ.

આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આજે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુસર હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓના સંચાલકો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી અને ત્યારબાદ ભવનાથ તળેટી ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ​હોટેલ-ગેસ્ટ હાઉસના ટોયલેટ ભાવિકો માટે ખુલ્લા ​કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, રસ્તા, સફાઈ અને પાયાની સુવિધાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ મેળામાં આવતા ભાવિકોની સંખ્યા ખૂબ મોટી હોવાથી ખાસ કરીને બાથરૂમ અને યુરિનલની સુવિધા અને સ્વચ્છતા જળવાઈ રહે તે એક મોટો પડકાર હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, કલેક્ટરે શિવરાત્રીના મેળા દરમિયાન હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓના સંચાલકોને તેમના ટોયલેટ અને યુરિનલ શ્રદ્ધાળુઓના ઉપયોગ માટે ખુલ્લા રાખવા અપીલ કરી હતી. હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ આ અપીલને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને શિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે તેમના ટોયલેટ-બાથરૂમની સુવિધા આપવા માટે સહમતિ દર્શાવી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આ માનવીય અભિગમ બદલ હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોનો આભાર પણ માન્યો હતો. ભવનાથ તળેટીમાં કલેક્ટરે કર્યું નિરીક્ષણ ​હોટેલ સંચાલકો સાથેની બેઠક બાદ કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર અને નાયબ કમિશનર ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ સાથે ભવનાથ તળેટી ખાતે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને તાત્કાલિક ધોરણે અને અગ્રતાના ધોરણે નીચેની પાયાની સવલતો સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જેમાં રસ્તા, સાફ-સફાઈ, પીવાના પાણીની સુવિધા, યુરિનલ, અને ટોયલેટ બ્લોક્સની વ્યવસ્થ કરવી ,ભાવિકોને રૂટ અને સ્થળોની જાણકારી મળે તે માટે યોગ્ય સ્થળો પર સાઈન બોર્ડ લગાવવા જેવી બાબતોને લઈ સૂચના આપવામાં આવી હતી. બસ ડેપો અને રેલવે સ્ટેશન પર સુવિધા વધારવા સૂચના ​કલેક્ટરે મેળાની તૈયારીઓના ભાગરૂપે માત્ર તળેટી જ નહીં, પરંતુ દૂર-દૂરથી આવતા ભાવિકો માટે મહત્ત્વના પ્રવેશ દ્વારો સમાન બસ ડેપો અને રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. આ સ્થળોએ શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય તે માટે તેમણે નીચેના દિશાનિર્દેશો આપ્યા હતા કે બસ ડેપો ખાતે શૌચાલયોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું. રેલવે સ્ટેશનની બહારની બાજુ પણ ટોયલેટ બ્લોકની સુવિધા ઊભી કરવા જણાવ્યું હતું.તેમજ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનથી ભવનાથ જવા-આવવા માટે રીક્ષાના દરો (રેટ) ભાવિકોને સ્પષ્ટ દેખાય તે પ્રકારે ડિસ્પ્લે કરવા.જૂનાગઢમાં આવેલા ફરવાના સ્થળોની જાણકારી મળે અને ભવનાથ રૂટ પર યોગ્ય રીતે વિવિધ સ્થળોના સાઈનબોર્ડ લાગે તે માટે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. છ મહિના અગાઉ મંદિર વહીવટી તંત્ર હસ્તક લેવાયું હતું મહાશિવરાત્રી મેળાનું મુખ્ય કેન્દ્ર એવા ભવનાથ મંદિરના વહીવટમાં અગાઉ મોટો ફેરફાર આવ્યો હતો. ગત તારીખ 31/07/2025ના રોજ ભવનાથ મંદિરનો વહીવટ વહીવટી તંત્ર હસ્તક લેવાયો હતો. જૂનાગઢ વહીવટી તંત્રએ આ મંદિરના સંચાલન માટે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરી હતી. વહીવટી તંત્રએ મંદિરનો વહીવટ સંભાળ્યા બાદ યોજાનારો આ પહેલો મોટો મહાશિવરાત્રી મેળો છે, ત્યારે વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ આયોજન વધુ સુવ્યવસ્થિત અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક બને તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા અને તેમની ટીમ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મેળાની પૂર્વતૈયારીઓ ઝડપી બનાવતા વહીવટી તંત્રનો પ્રયાસ છે કે, લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળામાં કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય અને શિવરાત્રીનો પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:58 pm

રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:નેશનલ હાઇવે પર ખાનગી બસો પર ફરી પથ્થરમારો, પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરા ઉડ્યા

શહેર નજીક નેશનલ હાઈવે પર દોડતી ખાનગી બસોને ટાર્ગેટ કરી પથ્થરોના છૂટા કરી તોડફોડ કરવાનો બનાવ ફરી એક વખત ગત રાત્રે બન્યો હતો. લુખ્ખાઓએ પથ્થરમારો કરી બે બસના કાચ ફોડી નાખતા ભયનો માહોલ સર્જાયો હતો.જે મામલે ખાનગી બસ એસોસિએશનના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ગઈકાલે હુડકો ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડ વચ્ચે સુરતથી રાજકોટ તરફ આવતી બે ખાનગી બસમાં અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી કાચ ફોડી નાંખતા ભયનો માહોલ ઉભો થયો હતો.અગાઉ પણ અનેકવાર આ જ વિસ્તારમાં અનેક ખાનગી બસના કાચ તૂટ્યાના બનાવો બન્યાં હોય જે મામલે 10 દિવસ પહેલા જ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી પેટ્રોલિંગ વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં સ્થાનિક પોલીસે તે આવેદનને નજર અંદાજ કર્યો હોય તેમ રાત્રિના સમયે પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ફરી બસના કાચ તૂટતા મુસાફરોમાં ભય ફેલાયો હતો. માતાના ઘર પાસે રિક્ષા પાર્ક કરતા આધેડને જ્ઞાતિ અંગે હડધૂત કરી છરી મારી દેવાઈ શહેરના 80 ફુટ રોડ ઉપર સત્યમ પાર્ક શેરી નં. 1 માં રહેતા જયસુખભાઈ રામજીભાઈ મુછડીયા (ઉ.વ. 49)એ મલવીયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રીક્ષા ચલાવું છુ અને મારા માતા લક્ષ્મીબેન (ઉ.વ. 80) દાસી જીવણપરા શેરી નં. 05 માં મારા ભાઈ અશ્વિનભાઈ મુછડીયા સાથે રહે છે.ગઈકાલે સાંજના 6.30 વાગ્યાની આસપાસ હું મારી રીક્ષા નં. જીજે 03 એયુ 7239 લઈને મારા માતાના ખબર અંતર પૂછવા માટે તેઓના ઘરે ગયો હતો અને રીક્ષા બહાર શેરીમાં પાર્ક કરી હતી. તે દરમ્યાન વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ભુપત ભટ્ટ તથા તેનો દીકરો હાર્દિક ભટ્ટ અને એક અજાણ્યો શખ્સ બહાર શેરીમાં ઉભા હતા અને મને કહ્યું કે અહી તારે આવવું નહી નહિતર અમો તને જાનથી મારી નાખીશું. જે બાદ બાદ મને જ્ઞાતી પ્રત્યે હડધુત કરે તેવા શબ્દો બોલવા લાગ્યા હતા. જે બાદ મારુ ગળુ દબાવવા લાગ્યો હતો. તે દરમિયાન મારા માતા લક્ષ્મીબેને ઝઘડો કરતા જોઈ જતા છુટા પડાવવા આવતા મારા માતાને ધક્કો મારી પાડી દીધા હતા. જે પછી આને મારી નાખો એમ કહેતા હાર્દિકે છરી કાઢી અજાણ્યા શખ્સને આપી અને અજાણ્યા શખ્સે મને પાછળના ભાગે જમણા ખંભા ઉપર છરી મારી દીધી હતી. જેથી મને લોહી નીકળવા લાગતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગોંડલ ચોકડી પાસે ટ્રક હડફેટે પગપાળા જતી નવોઢાનું મૃત્યુ સોનલબેન ભાવિનભાઈ સોલંકી (ઉં.વ. 22, રહે.લાલપરી વિસ્તાર, ગ્રીન્ડલેન્ડ ચોકડી) ગઈકાલે સાંજે 5 વાગ્યાં આસપાસ પગપાળા પિતાના ઘરે જતી હતી ત્યારે ગોંડલ ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોકટરે તેણીને મૃત જાહેર કરી હતી. જેથી આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પુછપરછમાં જાણવા મળેલ કે, નવોઢા સોનલબેન પોતાના પિયર ચાલીને જતી હોય તે વખતે દુર્ઘટના સર્જાઈ હતી. તે બે ભાઈ અને બે બહેનમાં મોટી હતી. મૂળ ગોંડલના રહેવાસી હોય અને પિતા આજીવસાહતમાં રહેતા હોય અને મૃતકના એક માસ પૂર્વે લગ્ન થયા હતા. આ અંગે આજીડેમ પોલીસે અજાણ્યા ટ્રક ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી. કુવાડવા ગામ પાસે બિનવારસી થારમાંથી દારૂની 204 બોટલ મળી આવી પીસીબી પોલીસે પેટ્રોલીગ દરમિયાન બાતમી આધારે કુવાડવા ગામ પાસે જાહેર રોડ પર વિદેશી દારૂ ભરેલ બિનવારસી થાર કબ્જે કરી દારૂ -થાર મળી રૂ.12.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પીસીબીની ટીમે કુવાડવા ગામમાં જાહેર રસ્તા પર મહિન્દ્રા થાર બીનવારસી હાલતમાં પડી હતી. જેમાં તપાસ કરવામાં આવતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 204 બોટલ હતી. જેની કિંમત રૂ.10 લાખ જેટલી થાય છે. પોલીસે થાર માલિકની શોધખોળ હાથ ધરી છે. નવાગામમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત શહેરની ભાગોળે આવેલા નવાગામમાં રમેશભાઈ લૂંભાણી નામના આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, નવાગામ સોસાયટી શેરી નં. 10 મા રહેતા રમેશભાઈ ધનજીભાઈ લૂંભાણી (ઉં. વ. 43)એ ગઈકાલ સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કરતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આપઘાત કરવાનું કારણ જાણવા ન મળતા કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:54 pm

આરોપીને ભવિષ્યમાં ડ્રાઇવિંગ નહીં કરવાની શરતે જામીન:સર્વિસ રોડ પર બેદરકારીપૂર્વક ગાડી ચલાવી બે લોકોના મૃત્યુ નિપજાવ્યા, આરોપીને અકસ્માત સમયે વાઈનો અટેક આવ્યો'તો

આરોપી હિતેશ પટેલ સામે ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી. જે મુજબ આરોપીએ રાયસણ પેટ્રોલપંપથી રાંદેસણ પાટીયા સુધી સર્વિસ રોડ પર બેદરકારીપૂર્વક અને ઝડપથી ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં હંસાબેન અને નીતિનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપીએ મૃતકોને 50 મીટર સુધી ઢસડ્યા હતા. આરોપીએ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટ સમક્ષ આરોપીના મેડિકલ સર્ટિફિકેટ મૂકવામાં આવ્યા હતાઆરોપી વતી કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, આરોપીને અકસ્માત સમયે એપિલેપ્સી એટલે કે વાઈનો હુમલો આવ્યો હતો. તેનો અકસ્માત પાછળ કોઈ ઇરાદો નહોતો. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. કોર્ટ સમક્ષ આરોપીના મેડિકલ સર્ટિફિકેટ મૂકવામાં આવ્યા હતા. આરોપીય તપાસમાં પૂરો સહકાર આપ્યો હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, આરોપીને પણ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેમાં પ્લેટ નાખવાની છે. કોર્ટે આરોપીના 10 હજાર રૂપિયાના બોન્ડ ઉપર શરતી જામીન મંજૂર કર્યાસામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, અકસ્માત થયો હોવા છતાં આરોપીએ ગાડી રોકી ન હતી. તેની સામે અગાઉ મારામારી, પ્રોહેબિશન અને દારૂની હેરફેર એવા કુલ 7 કેસો નોંધાયેલા છે. અકસ્માત સમયે તેના ગાડીની ઝડપ 83 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તેને મૃતકોને 50 મીટર જેટલા ઢસડ્યા હતા. કોર્ટે આરોપીના 10 હજાર રૂપિયાના બોન્ડ ઉપર શરતી જામીન મંજૂર કર્યા હતા. જે પૈકીની એક શરત હતી કે તે ભવિષ્યમાં ડ્રાઇવિંગ કરશે નહીં.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:50 pm

હવે નિકિતા દે ની મીરા દે સામે FIR:રાજકોટમાં કિન્નર અખાડાની ગાદી માટેનો વિવાદ ફરી વકર્યો

રાજકોટમાં કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા નિકિતા દે ની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે નિકિતા દે એ મીરા દે સામે ફોન પર રાજકોટ મૂકી દેવાની અને જો નહીં મૂકે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં મિહિર ચૌહાણ સામે પણ ફરિયાદ થઈ છે. જેથી કિન્નરો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. શહેરના ભાવનગર રોડ પર શક્તિ ચોક પાસે ગંજીવાડા શેરી નં.18 માં રહેતી નિકિતા દે એ થોરાળા પોલીસ મથકમાં પરાપીપળીયામાં એકતા નગરમાં 25 વારીયા કવાટરમાં રહેતા કીન્નર માસી મીરા દે અને મિહિર ચૌહાણ સામે જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત તા.27 નવેમ્બરના આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બંને શખ્સો દ્વારા ફોન કરી સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે સમાધાન કરવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા. મીરા દે અને મિહિર ચૌહાણ દ્વારા રાજકોટ મૂકી દેવાની ધમકી આપી હતી અને જો રાજકોટ નહીં મૂકે તો ટાટીયા ભાગી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. જે બાદ બંને દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી થોરાળા પોલીસે મીરા દે અને મિહિર સામે ગૂનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:35 pm