સમૂહ લગ્નનું આયોજન:‘છૂટાછેડાના વધી રહેલા બનાવોને રોકવા માટે સમાજના આગેવાનોએ જ પ્રયત્ન કરવો પડશે’
ગુજર ક્ષત્રિય યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમાં સમૂહ લગ્ન સમારોહમાં 22 યુગલો તે પ્રભુતામાં પગલા માંડ્યા હતા ગઢપુર રોડ મંણીબા ફાર્મ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં સુરત ઉપરાંત વિવિધ શહેરમાંથી જ્ઞાતિના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગેવાનોએ સમાજલક્ષી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમગ્ર સમાજમાં સળગતો પ્રશ્ન છુટાછેડાનો છે. તેને અટકાવવા માટે આગેવાનોએ પ્રયત્ન કરવો પડશે. ગયા વર્ષે સમૂહ લગ્નમાં જોડાઈને લગ્ન કર્યા હોય અને બીજા વર્ષે તે યુગલના છુટાછેડા થઈ ગયા હોય તેવા ઘણા બનાવો જોવા મળતાં હોય છે. આવા સંજોગોમાં બંને પરિવારોએ સમજદારી કેળવવી પડશે. 20-22 વર્ષ સુધી જે પરિવારમાં રહીને દીકરી મોટી થઈ હોય પિયર છોડીને નવા પરિવારમાં આવે છે ત્યારે તેને સેટ થતાં સમય લાગે છે માટે સમજદારી કેળવવી જોઇએ. સમૂહ લગ્નમાં અનેક અગ્રણીઓ હાજર રહ્યાસમૂહ લગ્નમાં સુરતની વિવિધ સંસ્થાઓના આગેવાનો, રાજકીય, સામાજીક અગ્રણીઓ, સરકારી અધિકારીઓ ઉપરાંત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટ, જૂનાગઢ, જામનગર, મહુવા, સાવરકુંડલા, તળાજા, વાપી સહિતના વિવિધ શહેરોના અગ્રણીઓ હાજર રહ્યા હતા. યુવા પ્રમુખ વિનોદ ગોહિલ સહિતના હોદ્દેદારો અને યુવા ટીમે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.
ખભે બેસાડી પૂરમાંથી બહાર કાઢી ભૂલાય?:6 વર્ષ પછી પૃથ્વીસિંહને જોઇ દીકરીઓ ગદગદ
ટંકારા પોલીસ મથકમાં મારું પ્રથમ પોસ્ટીંગ હતું અને તે સમયે એટલે 2019ના ઓગસ્ટ મહિના 9 અને 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદને પગલે ટંકારા જામનગર હાઈવે પર ખાખરા પુલ પાસે મારી ડ્યુટી હતી. અમારી ડ્યુટી પૂર્ણ થતા અમે પોલીસ મથકે પરત ફર્યા હતા અને ત્યાંથી અમને મેસેજ મળ્યો કે આખી રાત થયેલા વરસાદ અને જબલપુર ગામનું તળાવ તૂટી જતા પાણીનો મોટો પ્રવાહ કલ્યાણપર ગામને જોડતા રોડ પર આવેલા આશાબા પીર તરીકે જાણીતી વસાહતમાં પહોંચ્યો છે અને ત્યાં રહેતા અનેક પરિવાર ફસાયા છે. આ મેસેજ મળતા જે તે સમયના અમારા પી એસ આઈ લલીતા બગડા ,સીનીયર પોલીસ કર્મી ફિરોઝભાઈ અને હું એમ ત્રણ લોકો અહી પહોંચ્યા હતા. છુટાછવાયા વિસ્તારના કાચા ઝુંપડામાં રહેતા લોકો ફસાયા હતા સૌ પ્રથમ અમે નજીક રહેતા લોકો બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. કાંગશિયા પરિવારના લોકો જે સ્થળે રહેતા હતા ત્યાં ૪ ફૂટ કરતા પણ વધારે પાણી હતું બનાવ વખતે બાળકીના પિતા પણ હાજર ન હતા તેઓ અન્ય સ્થળે ફસાઈ ગયા હતા જેથી અમે ઝડપથી શક્ય લોકોને ઉંચકી બહાર કાઢયા હતા આ દરમિયાન બે દીકરી માત્ર 8 કે 9 વર્ષની હતી જે પાણીના પ્રવાહમાં નીકળી શકે તેવી સ્થિતિ ન હતી. અન્ય પોલીસ સ્ટાફ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત હોવાથી મેં બાળકીઓને ખભે બેસાડી સુરક્ષિત ઉચાઇ વાળા ઢોરાં વિસ્તાર સુધી લઇ જવા પ્રયાસ કર્યો હતો. લગભગ એકથી દોઢ કિમી સુધી પાણીમાં ચાલી બાળકીઓને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. આ શબ્દ છે 2019માં એક સાથે બે દીકરીને ખભે બેસાડી ૪ ફૂટ ઊંડા પાણીમાંથી બહાર કાઢી લગભગ દોઢ કિમી સુધી ચાલી સુરક્ષિત સ્થળે પહોચાડનાર કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ રણજીતસિંહ જાડેજાના... આજે પણ પૃથ્વીરાજસિંહને જોઇબન્ને બાળકી વિભોર બની જાયબીજી તરફ જે બે બાળકીને પૃથ્વીરાજ સિંહે બચાવી હતી તે ભાનુ(દેવુ) દિનેશ રાઠોડ અને આશા દિનેશ રાઠોડ, પૈકી આશા બાળકી ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે જયારે મોટી ભાવુ દીકરી પિતાના કામમાં મદદરૂપ બની રહી છે. બન્ને દીકરીઓ આજે પણ પૃથ્વીરાજ સિંહને જોઈ તુરત ભાવવિભોર થઇ જાય છે બન્ને બહેનોને તે દિવસની ઘટના સંપૂર્ણ પણે યાદ છે કે તે દિવસે પાણીમાં કેવી રીતે ફસાયા હતા અને પૃથ્વીરાજ સિંહ તેમજ તેમની સાથે ના પોલીસ કર્મીઓ દેવદૂત બનીને મોતના મુખમાંથી બહાર લાવ્યા હતા. પિતા દિનેશભાઈ એ સમય યાદ કરી ગદગદિત બની જાય છે અને કહે છે કે પોલીસ કર્મીના લીધે જ મારી દીકરીઓ બચી શકી છે, નવજીવન મળ્યું છે. જ્યાં સુધી તેઓ ટંકારા પોલીસ મથકમાં ફરજ પર હતા ત્યારે એ ઘટના બાદ પણ અવાર નવાર તેઓને મળવા આવતા અને ખબર અંતર પૂછવા આવે છે ક્યારેક બિસ્કીટ અને નાસ્તો પણ લઈને આવતા. નાની દીકરી અભ્યાસમાં તેજસ્વીછે, નોકરી કરવાનું તેનું સ્વપ્નપિતા દિનેશભાઇએ જણાવ્યું હતું કે મારી નાની દીકરી હોંશિયાર છે અને તેને નોકરી કરવાનું સ્વપ્ન છે. જો કે આ ઘટના બાદ તંત્ર દ્વારા આ પરિવારને સુરક્ષિત સ્થળે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.મકાન માટે આર્થિક મદ્દદ માટે અરજી કરી છે પણ હજુ રકમ મંજૂર ન થતા હજુ જૂના સ્થળે રહીએ છીએ.મોટી દીકરી દેવુંએ અભ્યાસ છોડી દીધો છે અને મને મજુરી કામમાં મદદરૂપ થાય છે.
ભાસ્કર એક્સક્લુસિવ:સુરત હવે બનશે CA કરિઅરનું ગેટવે કોલેજોમાં હશે એકાઉન્ટિંગ મ્યુઝિયમ
સુરત હવે માત્ર કાપડ અને હીરાનું જ નહીં, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કરિઅરનું પણ મુખ્ય પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યું છે. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) એ ગુજરાતની સ્કૂલો અને કોલેજોમાં 30 જેટલા ‘’એકાઉન્ટિંગ મ્યુઝિયમ’’ સ્થાપવાની મહત્ત્વકાંક્ષી યોજના જાહેર કરી છે, જેમાં સુરત સહિત રાજ્યના અન્ય આઠ શહેરોને આવરી લેવામાં આવ્યા છે. ICAI-WIRCના સભ્ય બિશન શાહે જણાવ્યું હતું કે, “ગણિતમાં રસ ધરાવતા વધુને વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજ સ્તરેથી જ એકાઉન્ટિંગ ફીલ્ડની તમામ વિગતો મેળવે અને CAની કારકિર્દીની પસંદગી કરે તે હેતુસર આ ઉપક્રમ હાથ ધરાયો છે.” આ સમગ્ર કવાયતનો હેતુ સ્કૂલ અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓમાં એકાઉન્ટિંગના વ્યવસાય પ્રત્યે રુચિ વધારવાનો અને દેશમાં CA પ્રોફેશનલ્સની સંખ્યામાં વધારો કરવાનો છે. આ મ્યુઝિયમ ચાર ભાગમાં હશે 1. ઇતિહાસ અને ઉત્ક્રાંતિ: 2. પ્રાચીન પુરાવાઓ અને પદ્ધતિઓ: 3. ભારતમાં CA વ્યવસાયનો વિકાસ: ભારતમાં એકાઉન્ટિંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના પ્રોફેશનના વિકાસ પર કેન્દ્રિત હશે. 4. પ્રદર્શિત દસ્તાવેજો: આ છે ‘’એકાઉન્ટિંગ મ્યુઝિયમ’’એકાઉન્ટિંગ મ્યુઝિયમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને લોકોને એકાઉન્ટિંગના ઇતિહાસ, ઉત્ક્રાંતિ અને મહત્ત્વ વિશે માહિતગાર કરવાનો છે. આ મ્યુઝિયમ હિસાબોના નિયમો સમજાવવાની સાથે ઇતિહાસમાં ગણતરી અને રેકોર્ડ રાખવાની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ છે તે દર્શાવે છે. ICAI-WIRC દ્વારા સ્થપાઈ રહેલા આ મ્યુઝિયમ ખાસ કરીને વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય પ્રત્યે રસ જગાવવા બનાવાશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
મંડે પોઝિટીવ:હાશ ! હવે મોરબીના રસ્તાની હાલત સુધરશે,શહેરના આઠ રોડ ડામરથી મઢી નવા બનાવાશે
મોરબી શહેરના અને ભાગોળના અસપાસના માર્ગોની હાલત લાંબા સમયથી અંત્યત ખરાબ હોવાથી લોકોના મનમાં હવે મોરબીમાં સારા રોડ બનશે કે નહીં તેવી અનિશ્ચિતતા સર્જાઈ છે. પણ લોકોની આવી ધારણા ખોટી પાડવા સરકાર અને મનપા હવે રહી રહીને મેદાને આવ્યું છે. સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ લીલીઝંડી મળતા મોરબી મનપાએ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 13.99 કરોડના 8 રોડને નવા ડામર રોડ બનાવવાની મંજૂરી આપી છે. જોકે કામ જ્યાંરથી શરૂ થાય ત્યારે પરંતુ લોકોને એક બાબતની ધરપત મળી છે કે આવનારા સમયમાં રસ્તા સારા મળશે. આ રસ્તાઓ પરથી ખાડાનુંનામોનિશાન મિટાવી દેવાશેમોરબીના નવલખી રોડથી શ્રધ્ધા પાર્ક સુધી રોડનું કામ રૂ.1.19 કરોડના ખર્ચે, જૂની પોસ્ટ ઓફસથી નજરબાગ ફાટક સુધી રોડનું કામ રૂ.73 લાખના ખર્ચે, સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધી રોડનું કામ રૂ.17 લાખના ખર્ચે , સ્ટેટ હાઈવેથી રોહિદાસ પરા સુધી રોડનું કામ રૂ.2.44 કરોડના ખર્ચે, વાવડી ગામથી નંદીઘર સુધી રોડનું કામ રૂ.3.80 કરોડના ખર્ચે, ઉમીયાનગરથી જુના રફાળેશ્વરની ફાટક સુધી રોડનું કામ રૂ. 1.79 કરોડના ખર્ચે, કાલીન્દ્રી નદીથી જુના ઘુંટુ રોડ સુધી રોડનું કામ રૂ.2.32 કરોડના ખર્ચે, ઈડન ગાર્ડનથી બોરીયા પાટી નાલા સુધી રોડનું કામ રૂ.1.55 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ તમામ રોડના કામો ટૂંક સમયમાં શરૂ કરવાનો મનપાએ નિર્દેશ આપ્યો છે. સમયમર્યાદામાં કામ પૂરા કરવા કમિશનની સૂચનામનપાએ હવે સુસ્તી ઉડાડી છે અને રોડ રસ્તાના કામ, સફાઇ ઝુંબેશ આદર્યા છે ત્યારે આ કામો યોગ્ય રીતે થાય છે કે નહીં તેની મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ ચકાસણી કરી હતી અને કામોના લેઆઉટ તથા ચાલતા કામની સમીક્ષા કરીને કામને સમય મર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીને સૂચના આપી હતી. સૂરજબાગ, શંકર આશ્રમ,બજરંગ અખાડાના વિકાસનાકામ હાથ પર લેવાયામોરબીમાં જાહેર ઉદ્યાનો, બાગની હાલત લાંબા સમયથી બદતર છે. તેમજ બજરંગ અખાડા જીમની ઇમારત સાવ ખખડી ગઇ હતી. આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સુવિધા પુરી પાડવા માટે 5.12 કરોડ રૂપિયાના ખર્ચે સૂરજબાગ, 2.17 કરોડ રૂપિયાના ખર્ચે શંકર આશ્રમ તથા 1.87 કરોડ રૂપિયાના ખર્ચે બજરંગ અખાડા જીમના ડેવલપમેન્ટના કામ કરવા આયોજન કરાયું છે. આ માટે એજન્સીને વર્ક ઓર્ડર આપીને આ કામો શરૂ કરવામાં આવ્યા છે. મનપા બન્યા પછી સ્વાભાવિક છે કે લોકોની અપેક્ષાઓ વધી જાય અને પાલિકા વખતે થયેલા કડવા અનુભવો ફરી ન કરવા પડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે અને તેમાંયે રસ્તા, ટ્રાફિક અને સફાઇ તેમજ પાણી મુદે અનેક વિસ્તારોમાંથી ફરિયાદોનો મારો શરૂ થયો છે ત્યારે મનપાએ આળસ ખંખેરી છે પરંતુ જોવાનું એ રહે છે કે કામને મંજૂરી મળ્યા પછી નિયત સમયમર્યાદામાં કામ શરૂ થાય અને પૂર્ણ થાય તેનું સઘન ચેકિંગ થાય.અને મનપાના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લે.
વરાછામાં લોકોનો વિરોધ, CMને રજૂઆત:‘કોટેજ ઇન્ડસ્ટ્રીઝને લીધે બહેન, દીકરીનું નીકળવું મુશ્કેલ બનશે’
ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાયનલ પ્લોટ 23, સી તથા 52 બી-2વાળી જમીન રહેણાંક કે ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં શિફ્ટ કરાઈ છે. જો કે, સ્થાનિકોએ કોર્મશીયલ કે કોટેજ ઇન્ડસ્ટ્રીના આયોજનો રદ કરવા કચેરીઓમાં અરજી કરી છે અને કોર્ટમાં જવાની પ્રોસેસ પણ શરૂ કરી છે. ઉપરાંત મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો કરી છે. ધર્મિષ્ઠા પાર્ક અને આસપાસની સોસાયટીના રહીશોનું કહેવું છે કે શાંતિ જોખમાશે તથા પ્રદૂષણ અને અસામાજિક પ્રવૃત્તિ પણ વધશે. રહીશોએ વેપારીઓ, દલાલો અને જાહેર જનતાને પણ અપીલ કરી છે કે, આ વિવાદિત જગ્યા પર બુકિંગ કરતા પહેલા ગંભીરતાથી વિચારે. કારણ કે સ્થાનિકો આ પ્લાનિંગને રદ કરાવવા મક્કમ છે. તેમના મતે, ‘અમે અહીં ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં 25થી 30 વર્ષથી શાંતિથી રહીએ છીએ. 2023માં જ્યારે આ ઇન્ડસ્ટ્રિયલ બુકિંગ આવ્યું ત્યારે પણ વિરોધ કર્યો હતો. તાજેતરમાં જ બાજુના વિસ્તારમાં બુટલેગર વોર થતાં તલવારો અને છરા ઉછળ્યા હતા. જો અહીં ઇન્ડસ્ટ્રીઝ આવશે તો આવું ન્યુસન્સ કાયમી બની જશે અને બહેન-દીકરીઓનું બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. અમે આ પ્રોજેક્ટનો અંત સુધી વિરોધ કરીશું. જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરાશે. હાલમાં આ મુદ્દો સમગ્ર વરાછા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ભાસ્કર એક્સક્લુસિવ:વર્ષે આગના 2800 કોલ છતાં પ્રિવેન્શન વિંગ કાગળ પર, 51માંથી 5ની નિયુક્તિ
રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકાએ ઓક્ટોબર-2024માં ‘ફાયર પ્રિવેન્શન વિંગ’ બનાવવા 51 પોસ્ટને મંજૂરી આપી હતી. જોકે શિવશક્તિ અને રાજ ટેક્સ્ટાઇલ માર્કેટની ભીષણ આગ પછી પણ ફાયર પ્રિવેન્શન વિંગમાં 10 કર્મીની નિયુક્તિ થઇ શકી નથી. શાસકોની મંજૂરીના 1 વર્ષ બાદ પણ મહેકમ વિભાગ ગંભીર નથી, જેથી ફાયર કર્મીઓને શારીરિક નુકસાન ભોગવવાની નોબત આવી રહી છે. આગ અકસ્માત ટાળવાના આગોતરાં પગલાં અને ફાયર NOC સહિતની દસ્તાવેજી કામગીરી માટે 24 સપ્ટેમ્બર, 2024ના રોજ નવી ફાયર પ્રિવેન્શન વિંગ બનાવવા તત્કાલીન ડે. કમિ. ડો. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં વિંગની રચના અંગે 51 પોસ્ટ ભરવા નીતિવિષયક નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત મહેકમ વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરતાં મંજૂરી પણ અપાઇ હતી. 13 મહિનામાં આ 5 પદ જ ભરાયાં આગોતરાં પગલાં તથા દસ્તાવેજી કામગીરી માટે વિંગ જરૂરી1 વર્ષમાં 19 કાપડ માર્કેટમાં આગ લાગી| તાજેતરમાં રાજ ટેક્સ્ટાઇલ માર્કેટ, ફેબ્રુઆરીમાં શિવશક્તિ માર્કેટ સહિત 1 વર્ષમાં રઘુકુલ, કુબેરજી વર્લ્ડ, શ્રી બાલાજી અને મીઠાઇવાલા માર્કેટ સહિત 19 ટેક્સ્ટાઇલ માર્કેટોમાં આગના કોલ નોંધાયા છતાં હજુ સુધી પ્રિવેન્શન વિંગની રચના થઈ શકી નથી.
વેપારીનું અપહરણ:‘તારા ભાઈ પાસેથી 4થી 5 કરોડ લેવાના છે, તે કેમ આપતો નથી,’ કહી વેપારીનું અપહરણ
મોરબીમાં રહેતા અને પીપળી જેતપર રોડ પર આવેલા કોયો સિરામિક ફેક્ટરી સામે મોબાઈલની દુકાન ચલાવતા એક યુવક તેની દુકાને હતા ત્યારે તેના ભાઈના મિત્રો અને કેટલાક શખ્સ આવી પહોચ્યા હતા અને તારા ભાઈ પાસેથી રૂ 4 થી 5 કરોડ લેવાના છે કહી અપહરણ કરી લઇ ગયા હતા. જે અંગેની જાણ તેના પરિજનોને થતા તેઓએ પોલીસ કન્ટ્રોલમાં ફરિયાદ કરતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી યુવકનું અપહરણ કરનાર ત્રણ શખ્સને ઝડપી લઇ યુવકને છોડાવ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ અને કાર સહિત 10.40 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત જોઇએ તો ત્રાજપર ચોકડી નજીક રવી નગરમાં રહેતા અને મોબાઈલની દુકાન ચલાવતા અમરતસિંગ ભુરાસિંગ ઉર્ફે ભૂરો સોઢા નામના વેપારી તેની દુકાને સુતા હતા ત્યારે તેમના ભાઈ નરસિંગના મિત્ર પીયુષ પટેલ તેમજ નવઘણ અને અન્ય લોકો આવી પહોંચ્યા હતા અને બળજબરી કરી પોતાની કારમાં લઇ ગયા હતા અને પાવડીયારી કેનાલ પાસે લઇ જઇ માર માર્યો હતો અને કારમાં કહેવામાં આવ્યું કે અમારે તારા ભાઈ પાસેથી 4 થી 5 કરોડ રૂપિયા લેવાના છે. જો કે આ ઘટનાની પરિવારને જાણ થતા જિલ્લા પોલીસ કંટ્રોલને ફરિયાદ કરવામાં આવતાં પોલીસ હરકતમાં આવી હતી અને ચોતરફ નાકાબંધી કરવામાં આવી હતી. એ વખતે શંકાસ્પદ જીજે3 એફડી 7997 નંબરની કાર પસાર થતાં તેને અટકાવી અમરતસિંગ ભુરાસિંગ ઉર્ફે ભૂરો સોઢાને છોડાવ્યો હતો અને નવઘણ ઉર્ફે ખુટીયો વેલજીભાઈ સોઢા, ભગીરથ રતિલાલ થોરીયા, અને પિયુષ હસમુખભાઈ લોરીયાની ધરપકડ કરી કાર સહિત 10.40 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ગામ ગામની વાત:સરસ્વતીના ઉંદરામાં ગ્રામજનો સહયોગથી લાઈબ્રેરીથી મેદાન સુધીની સગવડો
સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં પાછલા વર્ષોની સરખામણી એ 6 માસથી ઉડીને આંખે વળગે તેવો વિકાસ સાધ્યો છે. ગ્રેજ્યુએટ અને યુવા સરપંચ તરીકે લાડજીજી ઠાકોર ગામના સર્વાંગી વિકાસ માટે પોતાની તમામ શક્તિ કામે લગાડી ગામને વિકાસના ઉત્તમ શિખર સુધી પહોંચાડવા કમર કસી રહ્યા છે ત્યારે ગામમાં પ્રાથમિક સુવિધાઓ વીજળી, રસ્તા, પીવાના પાણી, ગટર લાઈન, શૌચાલય સહિતના વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. ગામના દરેક વડિલ અને યુવાવર્ગને સાથે રાખી ગામમાં લાઈબ્રેરી અને મેદાનમાં જરૂરિયાત સગવડો ઊભી કરી ગામમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ગામમાં લોકોનું આરોગ્ય જળવાય તે માટે વિવિધ મેડિકલ કેમ્પનું પણ સમયે સમયે આયોજન કરાય છે. ઉંદરા ગામમાં ગંદકી અને ઉકરડાના ઢગ દૂર કરી માર્ગોની સાફસફાઈ કરવામાં આવી છે ગામમાં દરેક મહોલ્લામાં પાણી પહોંચે અને સ્મશાન ભૂમિમાં 1200 વૃક્ષારોપણ કરી સ્મશાન ભૂમિને રમણીય બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. વરસાદી પાણીથી જે વિસ્તારો તહસ નહસ થઈ પાણી ભરાઈ જતા હતા, તેવા વિસ્તારોમાં અંડરલાઇન ગટર નિર્માણ કરી પ્રજા સુખકારીનું સર્વોત્તમ કામગીરી યુવા સરપંચની આગેવાનીમાં ગ્રામજનો અને સભ્યોના સહયોગથી થઈ છે. ઉપરાંત મહિનામાં બે વાર ગામની સફાઈ કરવામાં આવે છે. ગામની દિકરીઓએ રમતગમતમાં ક્ષેત્રે પણ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને ગામની દિકરીએ રાજય કક્ષાએ બીએડમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. ટૂંક સમયમાં ખૂટતા કામ પૂર્ણ થશે ગામ સિવાય પેટા પરામાં બાકી રહેલા વિકાસના પણ કામો પુરજોશમાં ચાલુ છે. જેને લઈ આગામી દિવસોમાં આસપાસના વિસ્તારોમાં તમામ ખૂટતા કામો પૂર્ણ થશે તેવું જણાવ્યું હતું.
વેધર રિપોર્ટ:રાત્રિનો પારો 1.3 ડિગ્રી વધ્યો છતાં ઠંડીનું જોર યથાવત
છેલ્લા 3 દિવસથી શહેરમાં ફુલગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે. શનિવારે સિઝનની 13.8 ડિગ્રી સાથે હાઇએસ્ટ ઠંડી નોંધાયા પછી રવિવારે પારો 1.3 ડિગ્રી વધ્યો હતો. જો કે, ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. આગામી બે દિવસમાં રાત્રિનો પારો બે ડિગ્રી સુધી વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુતમ 15.1 ડિગ્રી નોંધાયું હતું. શનિવાર કરતા મહત્તમમાં 1 ડિગ્રી અને લઘુતમમાં 1.3 ડિગ્રીનો વધારો થયો હતો. આ સાથે જ ઉત્તર દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા.
‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સુરત શહેરમાં 3921 શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ શરૂ કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 3046 બેંક ખાતાની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં મોટાવરાછા, ઉત્રાણ, સરથાણા, કોસાડ, વરાછા અને અમરોલીમાં સૌથી વધારે બેંક ખાતા ભાડે આપનારા અને બીજાના ખાતા લેનારા તપાસમાં સામે આવ્યા છે. બેંક ખાતા તો ભાડેથી લઈ પાસવર્ડ અને યુઝરનેમ બનાવી વિગતો વિદેશમાં મોકલી આપતા હતા. એટલું જ નહિ ટોળકી સુરતમાં બેસી ઓનલાઈન સાયબર ફ્રોડના ખાતામાંથી ચેક અને એટીએમથી રૂપિયા પણ ઉપાડી પાછા વિદેશમાં બેઠેલી ગેંગને યુએસડીટી મારફતે ટ્રાન્સફર કરી દેતા હતા. જેમાં સુરતમાં બેઠેલી ગેંગના સાગરિતોને ટ્રાન્જેકશનો પર મોટું કમિશન મળતું હતું. ખાસ કરીને મોટાવરાછા અને ઉત્રાણને ઓનલાઈન સાયબર ફ્રોડના ‘હબ’ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. આર્થિક તંગી કે 5–10 હજારની લાલચમાં આવી કેટલાક લોકોએ પોતાના નામના બેંક ખાતા ભાડે આપ્યા હોવાની વાત તપાસમાં સામે આવી છે. કિસ્સા નં : 1મહિલાએ યુપીથી 17 હજાર ખર્ચી આવી 4.20 લાખ જમા કરાવ્યાએક મહિલા દિવ્યાંગ પતિ અને સંતાન સાથે 17 હજાર ખર્ચીને સુરત આવી હતી અને 4.20 લાખ જમા કરાવ્યા હતા. આ રકમ સાયબર ફ્રોડની હોવાથી ખાતુ ફ્રીઝ થયું હતું. તેણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે ‘મારા પતિનો મિત્ર ગંગારામ સુરતમાં રહે છે, તેણે મારા પતિને કહ્યું કે વતનમાં રૂપિયાની જરૂર છે, જેથી હું ઓનલાઇન ટ્રાન્સફર કરું છું. આથી મહિલાના પતિએ પત્નીનો ખાતા નંબર આપ્યો હતો. ગંગારામે 4.20 લાખ જમા કર્યા પછી તે રકમ ગંગારામના ફેમિલીને પણ આપી હતી. જો કે, ત્યાર બાદ ખાતુ ફ્રીઝ થઈ ગયું હતું. આથી આ રકમ સાયબર ફ્રોડની હોવાની ખબર પડી હતી. પોતાના દીકરા પર રેલો ન આવે તે માટે ગંગારામના પિતાએ આ રકમ મહિલાને આપી દીધી હતી. કિસ્સા નં : 2બદામ શેકનું 25 હજારનું પેમેન્ટ ઓનલાઈન લેતા ખાતું ફ્રીઝ થયુંકાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે પાલિકાના આવાસમાં રહેતો 21 વર્ષીય યુવક જ્યુસની લારી ચલાવે છે. થોડા દિવસ પહેલાં તેના બેંક ખાતામાં બદામ શેકનું 25 હજારનું ઓનલાઈન પેમેન્ટ જમા થયું હતું. યુવકે અગાઉ કોઈ પાર્ટીનો ઓર્ડર લીધો હતો, જેનું પેમેન્ટ ગ્રાહકે ઓનલાઈન કર્યું હતું. આ રકમ ઓનલાઈન સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા બેંક ખાતામાંથી મોકલવામાં આવી હતી, જેના કારણે યુવકનું ખાતું ફ્રીઝ કરી દેવાયું હતું. બીજી તરફ પોલીસે નોટિસ આપી જવાબ લેવા બોલાવ્યો ત્યારે તેને ખબર પડી હતી. પોલીસે તેના નિવેદનો લીધા હતા. જો કે તેની ગુનાહિત પ્રવૃતિ કે સાયબર ફ્રોડ બાબતની સીધી સંડોવણી જણાઈ ન હતી, જેથી જવા દેવાયો હતો. કિસ્સા નં : 3અમરોલીનો ટેમ્પોચાલક મિત્રની મદદ કરવામાં ભેરવાઈ ગયોઅમરોલીમાં રહેતો ટેમ્પોચાલકે મિત્રની મદદ કરવામાં ભેરવાયો અમરોલીમાં રહેતા ટેમ્પોચાલકે મિત્રની મદદ કરવામાં ભેરવાયો છે. હિરેન નામના શખ્સનું બેંક ખાતુ બંધ થયું હતું. આથી હિરેને ટેમ્પોચાલક મિત્રને આ બાબતે વાત કરી હતી. ટેમ્પોચાલકે પોતાનું બેંકખાતુ મિત્રને આપ્યું, તેજ મિત્રએ તેના ખાતામાં 2 લાખની રકમ નખાવી બાદમાં એટીએમથી ઉપાડી પણ લીધી હતી. પછી ટેમ્પોચાલકનું ખાતુ ફ્રીઝ થયું હતું. આથી ચાલકે મિત્રને વાત કરી તો તેણે કલીયર કરી આપવાની વાત કરી હતી. જ્યારે પોલીસ ટેમ્પોચાલકના ઘરે આવી ત્યારે તેને ખબર પડી કે 2 લાખની રકમ તેના ખાતામાં આવી તે સાયબર ફ્રોડની હતી. ત્યારે મિત્રની પોલ ખુલી હતી. હાલમાં તેનો મિત્ર ફરાર છે. શહેરની 68 બેંકોના ગ્રાહકોએ 3,921 ખાતાં ભાડેથી આપ્યાં હતાં, જેમાં સૌથી વધુ ખાતાં આ બેંકોનાં છે
પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના યજમાન પદે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી મહિલા વોલીબોલ ટૂર્નામેન્ટ – 2025નું 10થી 14 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું હતું.જેનું રવિવારે સમાપન થયું છે.મહાકુંભમાં વેસ્ટ ઝોનની 5 રાજ્યની 93 યુનિવર્સિટીઓની ટીમ ભાગ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.જેમાં ગુજરાતની ટીમોએ પણ મેદાન માર્યું હતું. ફાઇનલ મુકાબલો રોમાંચક રહ્યો હતો, જેમાં આખરે રાજસ્થાનની પંડિત દિનદયાલ યુનિવર્સિટી, સીકરની ટીમ વિજયી બની અને સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) જીત્યું હતું. જોકે, ગુજરાત માટે ગૌરવની વાત એ રહી કે વડોદરાની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ જોરદાર ટક્કર આપી રજત પદક (સિલ્વર મેડલ) હાંસલ કર્યું હતું. કાંસ્ય પદક માટેની લડાઈમાં જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિજેતા બની હતી. આ ઉપરાંત, મહારાજા ગંગા સિંહ યુનિવર્સિટી, બીકાનેર ચોથા સ્થાને રહી હતી. પાટણ યુનિવર્સિટીએ આયોજનને લઈને ખેલ જગતમાં પ્રશંસા મેળવી છે. જ્યાં મહિલા સશક્તિકરણ, ટીમવર્ક અને શિસ્તના ઉત્તમ પાઠ જોવા મળ્યા હતા. આ ટૂર્નામેન્ટ યુનિવર્સિટી કક્ષાએ રમતગમતને પ્રોત્સાહન આપવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.
શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે તેના નોકરીદાતા, તેમની પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના મધરાત્રે બે વાગ્યે બની હતી. હુમલામાં ઘાયલ થયેલા ત્રણેયને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. પાડલા ગામના અલી ઉર્ફે અલ્યારખાન ભટ્ટી તેમના તબેલામાં પશુઓને ઘાસપૂળો કરવાની છૂટક મજૂરી માટે ગામના સોહિલ રસુલખાન કુરેશીને રાખતા હતા. 12 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યે સોહિલે અલી ભટ્ટી પાસે છેલ્લા એક મહિનાના બાકી મજૂરીના પૈસાની માંગણી કરી હતી. અલીભાઈએ સગવડ થશે ત્યારે પૈસા આપવાનું જણાવ્યું હતું. મજૂર સોહિલ કુરેશી મધરાત્રે લગભગ બે વાગ્યે અલી ભટ્ટીના ઘર પાસે પહોંચ્યો હતો. તેણે જોરજોરથી બૂમો પાડી અને ગાળો બોલી, કેમ તમે મજૂરીના પૈસા આપતા નથી તેમ કહીને સૂતેલા અલી ભટ્ટીના ગળાના ભાગે છરી મારી દીધી હતી. અલી ભટ્ટીની પત્ની મેમુદાબીબીએ છરી પકડી લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તેમના 12 વર્ષીય પુત્ર અરશદને ઇબ્રાહિમકાકાને ફોન કરવા કહ્યું. અરશદ ફોન કરી રહ્યો હતો ત્યારે સોહિલે તેને હાથના બાવડાના ભાગે છરીનો બીજો ઘા માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા મેમુદાબીબીને પણ હાથ અને ખભા પર છરીના ઘા વાગ્યા હતા. ત્રણેય જણાએ બૂમરાડ પાડતા ગામના લોકો જાગી ગયા હતા. લોકો ભેગા થતા હુમલાખોર સોહિલ નાસી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અલી ભટ્ટી બેભાન અવસ્થામાં સારવાર લઈ રહ્યા છે જ્યારે તેમના પુત્ર અરશદને પેટના ભાગે ઓપરેશન બાદ સર્જીકલ વિભાગમાં અને મેમુદાબીબીને ઇમરજન્સી વોર્ડમાં સારવાર અપાઈ રહી છે.આ અંગે મેમુદાબીબી અલ્યારખાન ભટ્ટીએ શંખેશ્વર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ:બાવલચુંડી સરપંચના પુત્રની હત્યાના આક્ષેપ સાથે લાશ સ્વીકારવા ઇનકાર
વડગામ તાલુકાના બાવલચુંડી ગામના સરપંચના પુત્રનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે મામલો ગંભીર બનતા ડીવાયએસપી, પીઆઇ સહિત ઉચ્ચ અધિકારીઓની એસઆઇટી (SIT)ની રચના કરી છે. વડગામ તાલુકાના બાવલચુંડી ગામના સરપંચના પુત્ર અજય ચૌહાણ 17 દિવસ અગાઉ બાવલચુંડી-છાપી રોડ પર એક અવાવરું જગ્યાએ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રવિવારની સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ હતી.પરિવારજનોનો આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા સમયસર અને યોગ્ય રીતે ફરિયાદ લેવામાં આવી નહોતી, જેના કારણે ન્યાય મળવામાં વિલંબ થયો છે. આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતા અને ઉચ્ચ કક્ષાની તપાસ માટે SITની રચનાની માંગ ઉઠતા મામલાની ગંભીરતા જોતા ડીવાયએસપી અને પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ તપાસ ટીમ (SIT)ni રચવામાં આવી હતી. પોલીસે ગોળ ગોળ જવાબ આપીને 3 દિવસ સુધી ફેરવ્યો મૃતકના પિતા અને ગામના સરપંચ વિનોદભાઈએ જણાવ્યું હતું કે, મારા પુત્રનો અકસ્માત થયો ત્યારે ગુરુવારની રાત્રે સાત વાગ્યે હું છાપી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવા ગયો હતો. જેથી પોલીસે ગોળ ગોળ જવાબ આપીને ત્રણ દિવસ સુધી મને ફેરવ્યો હતો અને મારી ફરિયાદ લીધી ન હતી. અને મને એવું કહેવામાં આવે છે કે કોઈ રાજકારણનુ દબાણો હોય તો અમને જાણ કરો એવું જણાવ્યું હતું.
સંબંધોની મિઠાશ:ગુજરાતની 150 પુત્રવધૂએ પત્ર લખી સંભળાવ્યા કિસ્સા..કેવી રીતે સાસુ મા બની ગઈ
મારી માતાએ તો મને જન્મ આપ્યો પરંતુ મારી સાસુ માએ મને દુનિયામાં કેવી રીતે જીવવું તે શીખવ્યું છે... લગ્ન થયા ત્યારે મને ચિંતા થતી કે નવા ઘરમાં શું થશે, પરંતુ સાસુએ પુત્રી કરતાં પણ વધુ સ્નેહ આપ્યો...આ તે પુત્રવધૂઓનો અનુભવ છે, જેમણે તેમની સાસુને લખેલા પત્રમાં કંડાર્યો છે. 20 ડિસેમ્બરે આવી 20 સાસુને સન્માનિત કરાશે, જેમણે પુત્રવધૂઓને પુત્રી સમાન માની અને ખૂબ પ્રેમ આપ્યો. આ સન્માન સમારોહ પીપી સવાણી ગ્રુપ 20 ડિસેમ્બરે સુરતમાં આયોજિત કરશે. પીપી સવાણી ગ્રૂપના અધ્યક્ષ મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, 17 વર્ષથી આયોજિત સમૂહ લગ્નમાં અત્યાર સુધીમાં 5,386 દીકરીના લગ્ન થયા. અમે આ જ દીકરીઓ પાસેથી પત્ર લખાવી સાસુ વિશે જણાવવા કહ્યું હતું. જેમાં 150થી વધુ પુત્રવધૂએ પત્ર લખ્યો તેમાંથી 20 પસંદ કર્યા છે. સપોર્ટ સિસ્ટમ... આખા ઘરનું ખાવાનું બનાવે છે મારા સાસુ-સસરાએ મને પુત્રવધૂ નહીં, પણ દીકરી તરીકે સ્વીકાર કરી છે. તેઓ શરૂથી જ કહેતા હતા કે તને પુત્રવધૂ નહીં પણ દીકરીની જેમ રાખીશું. જ્યારે હું ઓફિસમાં હોઉં છું ત્યારે મારી સાસુ મને ફોન કરીને પૂછે છે કે તું શું ખાવાનું પસંદ કરીશ, હું બનાવીને રાખું. હું ઓફિસથી આવું છું, ત્યારે મારી સાસુ અને દેરાણી મને આરામ માટે કહે છે. > વિરલ (પુત્રવધૂ), નીતાબેન લીંબાસિયા (સાસુ) મમ્મી જેવી... મારી સાસુ મારી ઉલટી સાફ કરતી પ્રેગ્નેન્સી વખતે કંઈ પણ ખાતી તો ઉલટી થઈ જતી, ત્યારે મારી સાસુ ઉલટી સાફ કરતા હતા. મને ક્યારેય કોઈ વાતે રોકે નહીં. ક્યારે પણ અમારી વચ્ચે આજ સુધી ઝઘડો થયો નથી. મારી સાસુ ખરેખર મારી મમ્મી જેવી છે. હું ના પાડું છતાં પણ તેઓ મારૂ અડધું કામ કરે છે. જો હું ઊંઘતી હોવ અને મોડું થઈ જાય તો પણ મને જગાડતા પણ નથી.> ચાંડેગરા સ્નેહલ (પુત્રવધૂ), લીલાવતી બેન (સાસુ) આવું પણ સાસરિયું...મમ્મી, બહેન બધું જ મારી સાસુ મા મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું મારા મમ્મી અને પરિવારને છોડીને મારા સાસરે આવી છું. મારા મમ્મીથી વધારે મારી સાસુમા ધ્યાન રાખે છે. ખાવાનું બનાવતા નહોતું આવડતું. મારી સાસુએ મને બધું ખૂબ પ્રેમથી શીખવ્યું. મારી સાસુમાં મને મારા મમ્મી, બહેન અને મારી બહેનપણીઓ નજર આવે છે. કોઈ ભૂલ થઈ જાય છે તો પણ મને પ્યારથી સમજાવે છે. > જલ્પા ભેસારા (પુત્રવધૂ), ગીતાબેન ભેસારા (સાસુ) પુત્રવધૂ નહીં દીકરી... ફોન કરી સાસુ પૂછે શું જમવાનું બનાવું મને ઘરના કામ નથી આવડતાં. ઘરના તમામ લોકોનું ભોજન તેઓ બનાવે છે. તેમનું વર્તન ક્યારેય પણ સગી માતાથી ઓછું નથી. નોકરી વખતે જ્યારે મને વધારે સમય બહાર રહેવાનું થતું હોય, ત્યારે તેમનું મન ઘરમાં લાગે નહીં. ડિલીવરી વખતે મારી સાસુએ ખૂબ સંભાળ રાખી હતી. તેમને ક્યારેય પણ માતાની ગેરહાજરીનો અહેસાસ થવા દીધો નથી. > પરમાર અનિતા (પુત્રવધૂ), પુષ્પા બેન જેઠવા (સાસુ) સહયોગ... માતા-પિતાની સેવા માટે પિયર જવા દીધી જ્યારે મારા પિતા બીમાર હતા, ત્યારે હું તેમની સેવા કરી શકું, તેથી મને પિતા પાસે રહેવાની છૂટ આપી. પિતાની તબિયત સુધરી ગઈ, તો પણ હું તેમની દેખભાળ માટે ચાર મહિના સુધી મારા પિયરમાં રહી. મારી સાસુએ હંમેશાં મને પૂરો સહયોગ આપ્યો. કિંમતી વસ્તુ તો કોઈ પણ આપે, પણ મારા સાસુ-સસરાએ મને સમયનો સહયોગ આપ્યો, જે સૌથી કિંમતી છે. > વઘાસિયા રીનલ (પુત્રવધૂ), હંસાબેન રાસડિયા (સાસુ)
ડિજિટાઇઝેશન:પાટણમાં 12,19,104 પૈકી 11,11,553મતદારોનાં ગણતરી ફોર્મનું ડિજિટાઇઝેશન
પાટણમાં SIR અંતર્ગત પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં ડિજિટાઇઝેશનની કામગીરીમાં પાટણ જિલ્લો સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંકે હોવાની ગૌરવપૂર્ણ નોંધ લેવાઈ હતી. બેઠકમાં SIR અંતર્ગત પાટણ જિલ્લામાં કરેલી કામગીરી અંગે પ્રભારી સચિવ મમતા વર્માને વિગતવાર માહિતી આપી હતી.જેમા પાટણ જિલ્લામાં કુલ 12,19,104 મતદારો પૈકી 11,11,553 મતદારોનું ગણતરી ફોર્મ મળેલ હોય ડિઝીઈટાઈઝેશન પૂર્ણ કરાયું છે જે પૈકી 28,000 મતદારોનું મેપિંગ (2002ની મતદાર યાદીમાં નામ) શોધી શકાયું નથી જ્યારે 107551 મતદારોનાં ગણતરી ફોર્મ પાછા મળ્યા નથી જેથી તેમના નામ મતદાર યાદીમાં સમાવેશ થશે નહી. બેઠકમાં જિલ્લામાં નોંધાયેલા 25,425 મૃત્યુ પામેલ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહી, તેમજ 13,034 શોધી ન શકાય તેવા કે ગેરહાજર મતદારો અંગે લેવાયેલ પગલાં અંગે પણ સમીક્ષા કરી હતી. સાથે જ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ (નવા નોંધણી, સુધારા, અંગે)ની પ્રાપ્તિ બાદ થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરી હતી. સમીક્ષા બેઠક દરમિયાન પ્રભારી સચિવ મમતા વર્માએ મતદાર યાદીની ચોકસાઈ પારદર્શિતા અને સમયબદ્ધ પૂર્ણતા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર તુષાર ભટ્ટ, નાયબ ચૂંટણી અધિકારી પી.વાય ગોસ્વામી, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ શહેરમાં નવી ભૂગર્ભ યોજનાનો DPR પ્લાન તૈયાર, મંજૂરી માટે GUDCને મોકલી
પાટણ શહેરના લાખો નાગરિકોને ગટર ઓવરફ્લો, જામ થયેલી ચેમ્બરો અને દુર્ગંધની કાયમી સમસ્યામાંથી મુક્તિ મળે માટે પાટણ નગરપાલિકા દ્વારા શહેર માટે 116 કરોડની નવીન ભૂગર્ભ ગટર યોજનાની મહત્વાકાંક્ષી દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC), ગાંધીનગર સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરી છે. આ યોજના માત્ર વર્તમાન નહીં,2055 એટલે કે આગામી 30 વર્ષની જરૂરિયાતોને ધ્યાને રાખીને તૈયાર કરી છે, જે પાટણના ભવિષ્યને સ્વચ્છ અને સ્વસ્થ બનાવશે. જો મંજૂર થશે તો આગામી 30 વર્ષ સુધી શહેર ગટરની સમસ્યામાંથી મુક્ત બનશે. શહેરની હાલની ગટર વ્યવસ્થા, નિકાસની ક્ષમતા અને વિસ્તાર વાર સમસ્યાઓનો ધવલ એન્જિનિયર્સની ટીમે સૂક્ષ્મ સર્વે કરીને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કર્યો છે. આ DPRમાં વર્ષ 2055 માટે પાટણ શહેરની અંતિમ ડિઝાઇન વસ્તી 3,82,635 શહેરમાં રહેતી હશે તેવો અંદાજ માનવામાં આવ્યો છે. આ આંકડાના આધારે નવી ગટર લાઈનો, મેનહોલ, પમ્પિંગ સ્ટેશન અને આધુનિક એસ.ટી.પી. (STP)ની ક્ષમતાનો ટેકનિકલ ડિઝાઇન તૈયાર કરાયો છે. યોજનાની ગ્રોસ કિંમત 116 કરોડ છે, જ્યારે નેટ કિંમત રૂ. 84 કરોડ થવાં જાય છે.આ દરખાસ્ત GUDC સમક્ષ મંજૂરી માટે રજૂ કરાઈ છે અને મંજૂરી મળતા જ આ પ્રોજેક્ટ પાટણ શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને શહેરી વિકાસ માટે એક માઇલસ્ટોન સાબિત થશે. પાટણ શહેર માટે નવી ભૂગર્ભ ગટર યોજના તૈયાર કરવાની જવાબદારી ધવલ એન્જિનિયર્સને સોંપી હતી. ધવલ એન્જિનિયર્સની ટીમે પાટણ શહેરમાં રૂબરૂ સ્થળ મુલાકાત લઈ,નગરપાલિકાના અધિકારીઓ, ચીફ ઓફિસર તથા ટેકનિકલ સ્ટાફ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.શહેરની હાલની ગટર વ્યવસ્થા, નિકાસની ક્ષમતા અને વિસ્તાર વાર સમસ્યાઓનું સૂક્ષ્મ સર્વે કરી યોજના તૈયાર કરી છે. ગટર લાઈન કનેક્શનથી વંચિત 8થી વધુ વિસ્તારો લાઇન કનેક્શનમાં સામેલ થઈ જશેપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને પ્રોજેક્ટ એન્જિનિયરના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં શહેરમાં બાકી રહી ગયેલા તમામ વિસ્તારો તેમજ જ્યાં ભૂગર્ભ ગટર બ્લોક છે કે તૂટી ગયેલી છે તેવા મુખ્ય વિસ્તારોને આવરી લેવાયા છે. ખાસ કરીને, મીરા દરવાજા, રોટરીનગર, સબજેલ રોડ, રેલવે સ્ટેશન વિસ્તાર, મોતીસા દરવાજા, કેનાલ રોડ, હર્ષનગર વિસ્તાર, ટીબી ત્રણ રસ્તા અને પદ્મનાભ ચોકડી આસપાસના વિસ્તારોમાં ગટર ઓવરફ્લો,ચેમ્બરો જામ થવી અને દુર્ગંધ જેવી વર્ષો જૂની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે.તમામ વિસ્તારોને આવરી લઈ આગામી 30 વર્ષને ધ્યાને રાખીને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
હાઇકોર્ટે સરકારને ટકોર કરી:તમે ટૂરિઝમનો વિકાસ કરો છો પણ પક્ષીઓના ભોગે ટૂરિઝમ વિકસાવીને શું કરશો?:
નળસરોવર અને નડાબેટ પક્ષીઓની સેન્ચુરીમાં વિદેશી પક્ષીઓ શિયાળામાં આવતા બંધ થઈ ગયાં હોવાની જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરી છે. હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે તમે ટૂરિઝમનો વિકાસ કરો છો પણ પક્ષીઓના ભોગે ટૂરિઝમ વિકસાવીને શું કરશો? સચિવને આ મામલે શું પગલા લીધા તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. એડવોકેટ ગૌતમ જોશીએ એવી દલીલ કરી હતી કે ,સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોની હાઇકોર્ટ પાસે માહિતી માગી હતી. જેમાં 15 રાજ્યોએ સોગંદનામું કર્યું છે. કચ્છના નડાબેટ અને અમદાવાદ નજીક નળસરોવરમાં દર વર્ષે શિયાળામાં 5 લાખથી વધુ વિદેશી પક્ષીઓ આવતાં હતાં. પરંતુ લુણી નદી નજીક આવેલા નડાબેટ નજીક સરકારે સોલાર પેનલ લગાવી દીધી છે. સોલાર પેનલ મોટી સંખ્યામાં હોવાથી જળાશયો નાશ પામ્યાં છે. નળ સરોવરમાં ફ્લેમિંગો આવતાં બંધ થઈ ગયાંઅરજીમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ફ્લેમિંગો માટે વરસાદી પાણી ભરાયા બાદ કુદરતી રીતે જે ઇકોલોજી સિસ્ટમ વિકાસ પામે છે તે નળ સરોવરમાં નષ્ટ થઈ ગઈ છે જેના કારણે ફ્લેમિંગો આવતાં બંધ થઈ ગયાં છે. માનવ હસ્તક્ષેપ ન હોય તેવી જ જગ્યાઓ પર પક્ષીઓ આકર્ષાય છે.
ભાસ્કર ઈનસાઈડ:લુડીયા પાસેથી 68 હજારના પોષડોડા સાથે રાજસ્થાનના બે પકડાયા
ખાવડા નજીક આવેલા લુડીયા ત્રણ રસ્તા પાસેથી સ્થાનિક પોલીસે ફોર્ચ્યુનર કારમાં થતી માદક પદાર્થની હેરાફેરી ઝડપી લીધી હતી.મુળ રાજસ્થાનના બે શખ્સો 68 હજારની કિંમતના 4.580 ગ્રામ પોષડોડાનો જથ્થો ખરીદી આરઈ પાર્ક જઈ રહ્યા હતા એ દરમિયાન પોલીસને હાથ લાગ્યા છે.આરોપીઓએ પોલીસથી બચી શકાય અને સરળતાથી માદક પદાર્થની ખેપ કરી શકાય તે માટે પોષડોડાનું પાવડર બનાવી નાખ્યો માધાપરના શખ્સ પાસેથી ખરીદી આરઈ પાર્કમાં વેચાણસમગ્ર મામલે ખાવડા પોલીસ મથકના પીઆઈ વી.બી.પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે આ માદક પદાર્થનો જથ્થો માધાપરમાં રહેતા શિવલાલ બિશ્નોઈ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું.જેને આરઈ પાર્કમાં લઇ ગયા બાદ તેનું સેવન કરતા લોકો સુધી પહોચાડવાના હતા.જોકે તે પહેલા જ પોલીસે બન્ને આરોપીઓને દબોચી લીધા હતા.
ગોઝારો અકસ્માત સર્જાયો:CNG ગાસ્કેટની ગાડીએ ટુવ્હીલરને ટક્કર મારતા 1 યુવકનું મોત, 1ને ઈજા
શાહીબાગથી ટુવ્હીલર પર પિતરાઈ ભાઈ સાથે ઘરે જઈ રહેલા બે યુવકને નારણપુરા પાસે સીએનજીના બાટલા ભરીને જઈ રહેલી ગાસ્કેટની ગાડીએ ટક્કર મારી હતી. જેના કારણે થલતેજના 20 વર્ષીય વેદાંત મોદીનું ઘટનાસ્થળે મોત થયું હતું. પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બાદ ભાગી ગયેલા ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ફેક પ્રોફાઈલની માયાજાળ રચી કરોડોની ઠગાઈ:યુવતીની ફેક પ્રોફાઈલથી 3 જણે 2.32 કરોડની ઠગાઈ
ફેસબુક-ઈન્સ્ટાગ્રામમાં યુવતીના નામની ફેક પ્રોફાઈલ બનાવી સાઈબર ગઠિયાઓએ શેર માર્કેટ, આઈપીઓ અને ક્રિપ્ટોમાં રોકાણના બહાને ફેક્ટરી માલિક, વેપારી અને વૃદ્ધને જાળમાં ફસાવી ત્રણેય પાસે રૂ.2.32 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જેમને એપ્લિકેશનમાં કરોડો રૂપિયાનું બેલેન્સ દેખાતું હતું. પણ પૈસા વિડ્રો ન કરી શકતા શંકા જતા ત્રણેયે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. (કિસ્સો-1)‘ઈશિતા’ના કહેવાથી રૂ. 1.05 કરોડ રોક્યા હતાન્યૂ શાહીબાગ દેવગ્રામ પારિજાતમાં રહેતા અને ગિફ્ટ સિટીમાં જય એન્ટરપ્રાઈઝ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતા સ્વતંત્ર રાજેન્દ્ર યાદવ (38) 12 સપ્ટેમ્બરે ફેસબુક જોતા હતા. ત્યારે કોઇ ઈશિતા અરોરાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે સ્વતંત્ર યાદવે મંજૂર કરતાં બંનેએ ચેટિંગ શરૂ કર્યું હતું. ઈશિતા પોતે દિલ્હીમાં રહેતી હોવાનું અને ફેશન ડિઝાઈનિંગનું કામ કરતી હોવાનું કહ્યું હતું. ઈશિતાએ સ્વતંત્રને શેરબજારમાં રોકાણ કરી વધુ પૈસા કમાવાની વાત કરી તેને એક ગ્રૂપમાં એડ કર્યા બાદ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી હતી. જેમાં સ્વતંત્રે રૂ. 1.05 કરોડનું રોકાણ કર્યું, જેની સામે એપ્લિકેશનમાં પ્રોફિટ સાથે રૂ.2.24 કરોડ બેલેન્સ દેખાતું હતું. તે પૈસા ઉપાડવા ઈશિતાએ ટેક્સ પેટે રૂ.60 લાખ ભરવાનું કહેતાં સ્વતંત્રને શંકા ગઈ એટલે તેમણે પૈસા ભર્યા નહોતા અને સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. (કિસ્સો-2)‘આરોહી’એ ટીપ આપી ને વૃદ્ધે 75.18 લાખ ગુમાવ્યાનારણપુરા અંકુર ચારરસ્તા પરિશ્રમમાં રહેતા નિવૃત્ત જીવન ગાળતા શ્રેણિકભાઈ શાહ (72) 23 સપ્ટેમ્બરે ફેસબુક જોતા હતા, ત્યારે તેમણે શેરબજારમાં રોકાણથી વધુ પૈસા કમાવાની રીલ જોઈ હતી. તે જોઈને ક્લિક કરતાં તેઓ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ ગયા હતા. 174 સભ્યવાળા ગ્રૂપની એડમિન આરોહી નાબુંદરી બધાને શેરબજાર અને આઇપીઓની ટિપ્સ આપતી હતી. ગ્રૂપ મેમ્બરો તે ટિપ્સના આધારે શેરનું ખરીદ-વેચાણ કરતા હતા. તેમાં જે પ્રોફિટ થાય તેના સ્ક્રીનશોટ ગ્રૂપમાં મૂકતા હતા. આથી વિશ્વાસ આવતા શ્રેણિકભાઈએ ટુકડે-ટુકડે રૂ.75.18 લાખનું રોકાણ કર્યું હતું. જ્યારે પૈસા વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો તો વિડ્રો ન થતાં સર્વિસ ફી રૂ. 21 લાખ ભરવા કહ્યું. જેથી શંકા જતા શ્રેણિક શાહે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. (કિસ્સો-3)‘શીરત’એ કમિશનની લાલચ આપી 51.83 લાખ પડાવ્યાથલતેજસ્થિત મેપલ ટ્રી ગાર્ડન હોમ્સમાં રહેતા કમલેશ પ્રજાપતિ (52)ને 29 સપ્ટેમ્બરે ઈન્સ્ટાગ્રામમાં શીરત કોરે મોકલેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી વાત કરતાં શીરતે લંડનમાં રહેતી હોવાનું કહી તેનો વોટ્સએપ નંબર આપ્યો હતો. શીરતે કમલેશભાઈને, પોતે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગકામ કરે છે. તેમાં રોકાણથી વધુ નફાની લાલચ આપી એજન્ટને નફામાંથી 15 ટકા કમિશન આપવાનું કહી કમલેશભાઈનું ખાતું ખોલાવડાવ્યું. જેમાં ધીમે-ધીમે રોકાણ કરી રૂ.53.12 લાખ રોક્યા હતા. જેની સામે તેમને રૂ.1.29 લાખ વિડ્રો કરવા દીધા, બાકીના રૂ.51.83 લાખ ઉપાડવા દીધા નહોતા. પૈસા વિડ્રો માટે પહેલાં 15 ટકા કમિશન જમા કરાવાનું કહેતાં, શંકા જતા કમલેશભાઈએ સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
અવ્યવસ્થાની તસવીર:બધા પર નજર રાખતા CCTVને જોનારું કોઈ નહીં!
બાપુનગર, ખોખરામાં કેમેરાની કફોડી હાલ શહેર પોલીસ અને મ્યુનિ.એ કરોડો રૂપિયા ખર્ચીને સુરક્ષા અને સ્વચ્છતા માટે જે કેમેરા લગાવ્યા છે, એની હાલત ઘણી જગ્યાએ ખરાબ છે. બાપુનગરના શ્યામશિખર બ્રિજ પરના પોલીસના ‘નૈત્રમ’ કેમેરા લટકી રહ્યા છે, જ્યારે ખોખરામાં મ્યુનિ.એ લગાવેલા સીસીટીવી કેમેરા પણ તૂટીને નીચે પડે તેવી હાલત છે. શહેરભરમાં મ્યુનિ. અને પોલીસના 3 હજારથી વધુ સીસીટીવી કેમેરા લાગ્યા છે પરંતુ યોગ્ય મેઈન્ટેન્સ થતું નથી.
કાર્યવાહી:નખત્રાણાના સાયબર ફ્રોડના ૩ ગુનામાં ફરાર રાજસ્થાનનો આરોપી ઝડપાયો
સાયબર ફ્રોડના રૂપિયા અન્ય વ્યક્તિના બેંક ખાતામાં જમા કરાવી ઉપાડી લેવા મામલે હાથ ધરાયેલી કાર્યવાહીમાં નખત્રાણા પોલીસ મથકે વધુ ત્રણ ફરિયાદ નોધાઇ છે જેમાં ઓનલાઈન બિઝનેશ અને જમીનના રૂપિયા આવવાના હોવાનું કહી ઠગાઈના રૂપિયા 17.67 લાખ ફરિયાદીઓના ખાતામાં નંખાવી મેળવી લેવાયા હતા.આ ત્રણેય ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના આરોપીને એલસીબી ઝડપી લીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદી શાંતિબેન પુરષોત્તમદાસ ગોસ્વામીએ આરોપી ઇન્દ્રગીરી ઉર્ફે પપુ કિશોરગીરી ગોસ્વામી અને ગુરવિંદરસિંહ મનમોહનસિંગ ખોખર વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ વિશ્વાસ કેળવ્યો હતો અને પોતે ઓનલાઈન બિઝનેશ શરુ કર્યો હોવાનું કહી તેના રૂપિયા આવવાના હોવાથી ફરિયાદીના બેંક ખાતામાં રૂપિયા 4.48 લાખ નંખાવી ઉપાડી લીધા હતા .જયારે ફરિયાદી પરષોત્તમભાઈ નાનીકગીરી ગોસ્વામીને પણ આ બન્ને આરોપીઓએ વિશ્વાસમાં લીધા બાદ સાયબર ફ્રોડના રૂપિયા 2 લાખ ફરિયાદીના બેંક ખાતા મારફતે મેળવ્યા હતા.આ ઉપરાંત હરેશકુમાર વાસુદેવ દેવજાનીને બન્ને આરોપીઓએ જમીનના રૂપિયા આવવાના હોવાનું કહી બેંક ખાતાની વિગતો લીધી હતી અને ફરિયાદીના ખાતામાં ઠગાઈના રૂપિયા 11.19 લાખ નંખાવ્યા હતા. આ ત્રણેય ગુનામાં ફરાર રાજસ્થાનનો આરોપી હાલ જોધપુરમાં હોવાનું એલસીબીને જાણવા મળ્યું હતું.બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ મથકે સોપવામાં આવ્યો છે.
ઠંડીની સીઝન શરૂ થતાં જ જાનવરો અને પાલતુ પ્રાણીઓમાં હડકાયા થવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ શનિવારની વહેલી સવારે કોટેશ્વર દરિયાકિનારે બન્યો હતો. એક હડકાયા કૂતરાએ હુમલો કરતાં નારાયણ સરોવરના યુવકને પગ અને હાથમાં બચકાં ભર્યા હતા. જોકે, યુવકની સમયસૂચકતાના કારણે તેના પરિવારની મહિલાઓ બચી ગઈ હતી. મળતી વિગત મુજબ, નારાયણ સરોવરના રહેવાસી અદ્રેમાન ઓમર ભડાલા (ઉં.વ. 40) પોતાના પરિવારના સભ્યો સાથે શનિવારે વહેલી સવારે કોટેશ્વર દરિયાકિનારે પગપાળા માછલી પકડવા ગયા હતા. તે દરમિયાન અચાનક એક હડકાયું કૂતરું આવી ચડ્યું હતું અને સીધું પ્રથમ મહિલાઓ તરફ ધસ્યું હતું. કૂતરાને હડકાયું જોઈને અને તે મહિલાઓ તરફ આવી રહ્યું છે તે નિહાળીને અદ્રેમાને તાત્કાલિક હિંમત દાખવી કૂતરા સાથે બાથ ભીડી હતી અને તેને મહિલાઓ સુધી પહોંચવા દીધું ન હતું. જોકે, આ દરમિયાન હડકાયા કૂતરાએ અદ્રેમાનને પગ તેમજ હાથોમાં બચકાં ભરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. અન્ય લોકોને જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયા હતા. પ્રથમ તેમને નારાયણ સરોવર PHC ખાતે સારવાર આપવામાં આવી હતી, પરંતુ વધુ સારવારની જરૂર જણાતાં યુવકને ભુજ રીફર કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે નારાયણ સરોવર પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક વિદ્યાલય ગામની બહાર આવેલ છે, જ્યાં બાળકોનું દિવસભર અવરજવર રહે છે. તે ઉપરાંત હાલ પ્રવાસનની સિઝન ચાલુ હોવાથી મોટી સંખ્યામાં ટુરિસ્ટો પણ નારાયણ સરોવર-કોટેશ્વર આવી રહ્યા છે. જંગલી સુવરનો પણ ભય : વન વિભાગ તાત્કાલિક પગલાં લેસ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઠંડીની સિઝનમાં હડકાયા થવાના બનાવો વધે છે. થોડા દિવસ પહેલાં એક શિયાળ પણ હડકાયું થયું હતું, જે જંગલ તરફ નીકળી ગયું હતું. હાલમાં નારાયણ સરોવર વિસ્તારના લોકોને જંગલી સુવરનો મોટો ભય સતાવી રહ્યો છે. આ વિસ્તારમાં જંગલી સુવર મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. તેઓ દિવસના જાડી-ઝાંખરામાં છુપાઈને રહે છે અને રાત્રિના સમયે ગામમાં આવીને ઉત્પાત મચાવતા હોય છે. લોકોને ડર છે કે જો કોઈ જંગલી સુવર હડકાયું થશે તો મોટું નુકસાન કરી શકે છે.
ભચાઉના કુંભારડી સીમમાં આવેલા ફાર્મહાઉસના ગોદામમાંથી રૂ.3.09 લાખની કિંમતના સિંગતેલના 103 ડબ્બા ચોરી કરનાર તેલ ચોરીને અંજામ આપતી કુખ્યાત ત્રીપુટીને પકડી લઇ રૂ.1.77 લાખના તેલના 59 ડબ્બા અને જીપ સહિત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. ભચાઉ પીઆઇ એ.એ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કુંભારડી રહેતા 56 વર્ષીય હિતેષભાઇ જમનાદાસ વોરાએ ફરિયાદ નોંધાવી હતી કે, તા.7/12 ના રાત્રે 12:55 ના અરસામાં ત્રણ અજાણ્યા ઇસમો તેમના ગોદામમાંથી રૂ.3.09 લાખની કિંમતના સિંગતેલના 103 ડબ્બા ચોરીકરી ગયા છે. આ ફરિયાદ નો઼ધાયા બાદ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ તેલચોરી કરનાર ભુજ તાલુકાના નાના દિનારાની અલિયા વાંઢના આમદ ઉર્ફે ભાભો સિદ્દીક સમા, હમીદ દેસર સમા અને મોટા દિનારા સાલર વાંઢમાં રહેતા અબુબકર રમજાન સમાને પકડી લઇ રૂ.1,77,000 ના મુલ્યના સિંગતેલના 59 ડબ્બા અને જીપ સહિત કુલ રૂ.5,77,000 નો મુદ્દામાલ જપ્ત કરી ગણતરીના કલાકોમાં આ તેલ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. જો કે, આ ચોરીના બનાવમાં નાના દિનારાનો મજીદ તૈયબ સમાને પકડવાનો બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કામગીરીમાં તેમની સાથે પીએસઆઇ ડી.જે.ઝાલા અને ટીમ જોડાઇ હતી ત્રણે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસપકડાયેલી તેલ ચોર ત્રીપુટી પૈકી આમદ ઉર્ફે ભાભો સિદ્દીક સમા વિરૂધ્ધ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે 5,પધ્ધરમાં 1, ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે બે અને ભચાઉમાં 1 એમ 9 ગુના, અબુબકર સામે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે બે, સામખિયાળી, ગાંધીધામ બી-ડિવિઝન અને ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે એક-એક ગુનો અને હમીદ વિરૂધ્ધ પધ્ધર, માધાપર, ભુજ એ-ડિવિઝન, ખાવડા અને માનકુવા પોલીસ મથકે એક-એક ગુનો નોંધાયેલો છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કબ્જા બાદ પણ ભુજ પાલિકાએ પાર્કનો વિકાસ ન કર્યો
શહેરના મુન્દ્રા રોડ રિલોકેશન સાઈટ પર આવેલો તોરલ ગાર્ડન જવાબદારીની ફેંકાફેકમાં સુવિધાવિહીન બની ગયો છે નગરપાલિકાએ જવાબદારી લીધી પણ 9 મહીનાથી કોઈ કામો કરવામાં આવ્યા નથી પરિણામે આ વિસ્તારના લોકોને સારા બગીચાની સુવિધા ક્યારે મળશે તે સવાલ ઉઠી રહ્યો છે. દાતા પરિવારે વર્ષ 2005માં રોટરી ક્લબને માતબર દાન આપ્યું જેમાંથી રોટલી તોરલ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી અને ભાડાના સહયોગથી આ ગાર્ડનનું નિર્માણ કરાયું હતું.દાતા પરિવારે જ બગીચાનું ઉદ્ઘાટન કર્યું હતું. કાળક્રમે રોટરી તોરલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ગાર્ડનનું સંચાલન બંધ થતા લોકોએ ભાડાને ફરિયાદ કરતા ભાડાએ સદર ગાર્ડન 2012માં રોટરી તોરલ ટ્રસ્ટ પાસેથી પરત મેળવી પોતા પાસે કબજો રાખ્યો પણ કોઈ કામો કરવામાં ન આવ્યા અને ભાડા દ્વારા અન્ય સંસ્થાને સંચાલન આપવામાં આવે એ પહેલાં લોકમાંગણીના આધારે ભુજ નગરપાલિકાએ કારોબારીમાં ઠરાવ કરી ગાર્ડનનું સંચાલન સંભાળવા ભાડાને જણાવતા ભાડાએ માર્ચ 2025માં ગાર્ડન ભુજ નગરપાલિકાને સોંપવાનો પત્ર લખી આપ્યો છે પણ ભુજ પાલિકાએ 9 માસ થયા છતાં કબજો લીધો નથી. હાલમાં ગાર્ડનની સ્થિતિ બાવાના બે બગડ્યા જેવી છે ભાડા અને નગરપાલિકા કંઈ કરતું નથી. માત્ર પર્યાવરણની વાતો થાય છે. રિલોકેશન સાઈટ બની ત્યારે બગીચા આપવાની વાત હતી પણ વાસ્તવમાં અમલ થતો નથી.આ મુદ્દે સ્થાનીકો અને સંસ્થાઓએ કારોબારી ચેરમેનનો સંપર્ક કરતા હૈયાધારણા આપી છે કે, ફેબ્રુઆરી 2026 પહેલા ભુજ નગરપાલિકા દ્વારા ગાર્ડનનો કબજો સંભાળી પુનઃ નિર્માણ કરવામાં આવશે. ભવિષ્યમાં નગરપાલિકા સુકાન સંભાળે ત્યારે દાતા પરિવારની ભાવના સાથે એમનું જ નામ ટૂંકમાં રંગવાલા ગાર્ડન નામ રાખવામાં આવે તેવી લોક માંગ હોવાનું સ્થાનિકના ભુપેન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું. ભુજમાં રાજેન્દ્ર બાગની હાલત પણ ઉજ્જડ, પ્રવાસીઓ વિલા મોઢે પરત ફરે છેહાલમાં ભુજમાં શાળા પ્રવાસના વિદ્યાર્થીઓ અને સહેલાણીઓ આવી રહ્યા છે તેઓ ખાસ કરીને હમીરસર તળાવ ફરતે ફરવા નીકળે ત્યારે રાજેન્દ્રબાગ જોવા જાય છે દરવાજા ખુલ્લા હોવાથી લોકો જાય પણ અંદર જઈને જુએ ત્યારે માત્ર ગંદકી જ ગંદકી અને ભેંકાર લાગે છે ઝૂલતા પુલ ગમે ત્યારે પડી જાય તેમ છે આ બગીચો જોઈ પ્રવાસીઓ ભુજની ખરાબ છાપ લઈને જાય છે કમસેકમ નગરપાલિકા દ્વારા આ બગીચાની યોગ્ય રીતે જાળવણી કરવી જોઇએ. બગીચા વિકાસના કામો થાય છે પણ જાળવણી થવી જોઈએનગરપાલિકા દ્વારા વોકવે બનાવાયો અને હાલમાં ખેંગારપાર્ક, દાદા દાદી પાર્ક અને મંગલમ બગીચાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અગાઉ વંદે માતરમ બગીચો બનાવાયો પણ તેમાં સાધનો તૂટી ગયા સહિતની ફરિયાદ છે.લેક્વ્યું થી મંગલમનો વોકવે, ઇદગાહની પાછળ કરાયેલા ડેવલોપમેન્ટમાં ગંદકી જોવા મળે છે.ખરેખર નગરપાલિકા દ્વારા વિકાસના કામોની સાથે જાળવણી કરવામાં આવે તે જરૂરી હોવાનુ લોકો જણાવી રહ્યા છે.
IIM ખાતે ચાર નવા કોર્સ શરૂ કરાશે:IIM અમદાવાદ, મુંબઈ, બેંગલુરુમાં હવે પ્રોફેશનલ્સને પણ પ્રવેશ અપાશે
દેશની ત્રણ ભારતીય મેનેજમેન્ટ સંસ્થાઓ (IIM) 2025-26 શૈક્ષણિક વર્ષથી ચાર નવા અભ્યાસક્રમો શરૂ કરી રહી છે. આ અભ્યાસક્રમો IIM અમદાવાદ, બેંગલુરુ અને મુંબઈ દ્વારા ઓફર કરવામાં આવશે, જે સ્નાતકો અને કાર્યકારી વ્યાવસાયિકો બંને માટે ઉપયોગી થશે. બે અભ્યાસક્રમો હાઇબ્રિડ મોડમાં ઓફર કરાશે, જ્યારે બાકીના બે વર્ગખંડોમાં ચલાવવામાં આવશે. કોમન એડમિશન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ના પરિણામો જાહેર થયા પછી અરજી પ્રક્રિયા શરૂ થશે. તાજેતરમાં, આઈઆઈએમ કોઝિકોડે સીએટી આન્સર કી બહાર પાડી અને વાંધા મંગાવ્યા. પરિણામે, કેટના પરિણામો ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે. અંતિમ મેરિટ નક્કી થાય તે પહેલાં વિદ્યાર્થીઓના અનુભવને પણ ધ્યાને લેવાશે. IIM અમદાવાદ: હાઇબ્રિડમાં બિઝનેસ એનાલિટિક્સબે વર્ષનો એમબીએ ઇન બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ કોર્સ 2026માં શરૂ થઈ રહ્યો છે. આ કોર્સ મેનેજમેન્ટ ફંડામેન્ટલ્સને એઆઈ, મશીન લર્નિંગ અને ડેટા એનાલિટિક્સ સાથે જોડે છે. વ્યાવસાયિકો/ઉદ્યોગસાહસિકો અને ત્રણ વર્ષથી વધુ કાર્ય અનુભવ ધરાવતા સ્નાતકો અરજી કરી શકે છે. આ કોર્સ હાઇબ્રિડ મોડમાં ઓફર કરવામાં આવશે. પ્રવેશ કેવી રીતે મેળવવો :ગ્રેજ્યુએશનમાં 50% ગુણ સાથે અનુભવ, પરીક્ષા, ઇન્ટરવ્યુ હશે. IIM મુંબઈ: નવીનતા અને ઉદ્યોગસાહસિકતામાં MBAIIM મુંબઈ નવીનતા અને ઉદ્યોગસાહસિકતામાં એમબીએ શરૂ કરશે. ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઇન-હાઉસ ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કાર્યકારી વ્યાવસાયિકો માટે એક્ઝિક્યુટિવ કોર્સ માટેના વર્ગો ઓનલાઇન અને સપ્તાહના અંતે ઓફર કરવામાં આવશે.
25 વર્ષની ઉજવણી:લેવા પટેલ હોસ્પિટલમાં ‘સેવાપર્વ’ નિમિત્તે ડોક્ટર કોન્ક્લેવ યોજાઈ
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના 25 વર્ષની ઉજવણી ‘સેવાપર્વ’ નિમિત્તે ડોક્ટરનો કોન્કલેવ યોજાયો હતો. જેમાં અંગદાન વિશે સંકલ્પ લેવડાવાયું હતું. અંગદાન વિશે દિલીપ દેશમુખે, આરોગ્ય સેવાને હોસ્પિટલની દિવાલો નડતી નથી તે વિષય પર ડો. ધીરેન શાહ, સારી તંદુરસ્તી માનવ માવજત વિશે ડોક્ટર પાર્થ દેસાઈએ વક્તવ્યો આપ્યા હતા. કચ્છમાં હેલ્થ કેર દવાઓ સહિતના મુદ્દે પેનલ ચર્ચા થઈ હતી. આ પ્રસંગે જિલ્લા ની અનેક સેવાભાવી સંસ્થાઓ અને અંગદાન કરેલ વ્યક્તિઓના પરિવારજનોનું વિશેષ સન્માન કરાયું હતું. સમાજ સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયા, મંત્રી મનજીભાઈ પીંડોરીયા, ઉપાધ્યક્ષ ધનસુખભાઈ ભીખાલાલ સિયાણી, ખજાનચી રામજીભાઈ સેંધાણીના મધ્યસ્થ સંકલનથી યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. ચિંતન મહેતાએ વિગતો આપી હતી. આ પ્રસંગે સમાજ મોભી કેસરાભાઈ પીંડોરીયા, કન્યા શિક્ષણના સંચાલક કાંતાબેન વેકરીયા, દાતા ટ્રસ્ટી રવજીભાઈ ગોરસિયા, હરેશ સૂર્યવંશી, મહિલા ટ્રસ્ટી હંસાબેન હરસિયાણી, મનિષાબેન પટેલ જોડાયા હતા, લેવા પટેલ હોસ્પિટલના નામકરણ દાતા પરિવારના ભાનુબેન અરવિંદ ભુડીયા, ચંદાબેન શ્રોફ, બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાસ આમંત્રિત રહ્યા હતાં. સમાજના યુવા મંત્રી કરસનભાઈ મેપાણી , ગોપાલભાઈ વેકરીયા, ડો.મહાદેવ પટેલ, ડો.મેહુલ કાલાવડીયા, ડો. આશિષ માકડીયા, ડો. જ્ઞાનેશ્વર રાવ સહિત અનેક તબીબો જોડાયા હતા. તા. 21 -12 ના રવિવારે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પની જાહેરાત કરાઇ હતી.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (શહેર ડીઈઓ)કચેરીએ ધીરે ધીરે જામી રહેલા ઠંડીની મોસમમાં સ્કૂલના વિદ્યાર્થીઓને રાહતની લાગણી અનુભવાય તે રીતે સ્કૂલોના શૈક્ષણિક સમયમાં છૂટછાટ આપવાની, સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની, યુનિફોર્મ સિવાયના ગરમ વસ્ત્રો-કપડા પહેરવા માટેની છૂટછાટ આપવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ શહેરની વિવિધ સ્કૂલોના સંચાલક કક્ષાએથી મૌખિક રજૂઆતો કરવામાં આવ્યા બાદ શહેર ડીઈઓ કચેરી તરફથી આ સ્પષ્ટતા કરાઈ છે. અમદાવાદ શહેર ડીઈઓ કચેરી સાથે સંકળાયેલ આશરે 1800 જેટલી સ્કૂલો આવેલી છે. આ સ્કૂલોમાં પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ધોરણ 1થી 12માં આશરે સાડા પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ માટે શિયાળાની ઋતુ માટે રેગ્યુલર યુનિફોર્મની સાથે સાથે ચોક્કસ પ્રકારના કલરવાળુ યુનિફોર્મ વાળુ સ્વેટર હોય છે. જોકે શિયાળાની ઋતુ દરમ્યાન વિદ્યાર્થીઓને ઠંડીના કારણે એકથી વધુ ગરમ વસ્ત્રો કે સ્વેટર પહેરતા હોય છે. કેટલીક સ્કૂલો દ્વારા શિસ્તપાલનના ભાગરૂપે શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ ચોક્કસ પ્રકારના ગરમ વસ્ત્રો પહેરે તેવો આગ્રહ રાખતી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ કેટલાક કિસ્સાઓમાં મૂંઝવણ અનુભવતા હોય છે. કેટલીક વાર ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હોય છે. આવી બાબતો અમદાવાદ શહેર ડીઈઓ કચેરી સુધી પણ પહોંચતી હોય છે અને ડીઈઓ કચેરી સુધી રજૂઆતો પણ થતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ કચેરી દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ શિયાળામાં વહેલી સવારે મોર્નિગ શિફ્ટમાં સ્કૂલ હોવાથી પ્રાથમિક વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખાસી તકલીફ પડતી હોવાથી છે, તેથી વિદ્યાર્થીઓને મોર્નિગ શિફ્ટના નિયત સમય કરતાં થોડીક વિલંબથી સ્કૂલ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે ઠંડીથી બચી શકે અને રાહતની લાગણી અનુભવે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરાઈ છે. હવેથી આ નિયમોનું પાલન સ્કુલોએ તેની અનુકળતા પ્રમાણે કરવાનું રહેશે. આ અંગે કચેરી દ્વારા કોઈ પરિપત્ર કરવામાં નહિ આવે. સ્કૂલ પોતાની રીતે નિર્ણય લઈ શકે, પરિપત્ર કરાશે નહિપ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી વરસાદ-પૂરગ્રસ્ત જેવી પ્રાકૃતિક આપત્તિના સમયગાળામાં સ્કૂલોને પોતાની રીતે રજા સહિતની બાબતોને લગતો નિર્ણય પોતાની રીતે કરવા માટે જણાવવામાં આવે છે. જે અંતર્ગત તમામ સ્કૂલોને વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરી પર વિપરિત અસર ના પડે તે રીતે નિર્ણય લેવો. આ અંગેનો કોઈ પણ પ્રકારનો સત્તાવાર નિર્ણય કરાશે નહી, પરીપત્ર કરાશે નહિ.
શિલાન્યાસ:દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે ₹193 કરોડના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ
શિપિંગ સચિવ વિજય કુમારે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ કુલ ₹193 કરોડના ખર્ચે અનેક મહત્ત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. DPAના ચેરમેન સુશીલ કુમાર સિંહ દ્વારા સચિવને પોર્ટના મજબૂત પ્રદર્શન, સંચાલકીય સિદ્ધિઓ અને ક્ષમતા, કાર્યક્ષમતા અને ટકાઉપણું વધારવાના હેતુથી ચાલી રહેલી અને આગામી વિકાસ પહેલો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સચિવે ચેરમેન અને નાયબ ચેરમેન નીલભ્ર દાસગુપ્તાની હાજરીમાં સ્ટેકહોલ્ડર્સની મીટિંગમાં હાજરી આપી હતી. જેના પરિણામે સંચાલન કાર્યક્ષમતા, ભવિષ્યની તકો અને સહયોગી વિકાસ અંગે રચનાત્મક વિચાર-વિમર્શ અને અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી આ પ્રોજેક્ટક્સનું ઉદઘાટનઉદ્ઘાટન કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં કંડલા ખાતે શિપયાર્ડ સુવિધાના વિકાસ માટે જમીનનું પુનઃપ્રાપ્તિ કાર્ય, પોર્ટને નેશનલ હાઇવે-141 સાથે જોડતી કોસ્ટલ રોડ કનેક્ટિવિટી અને આધુનિક સંગ્રહ ક્ષમતા વધારવા માટે ડોમ-આકારનું સ્ટોરેજ ગોડાઉન નંબર 4 નો સમાવેશ થાય છે. ગ્રીન ઇલેક્ટ્રિક વાહન (EV) લોડર્સના કાફલાનું તેમજ તેના ચાર્જિંગ પણ ઉદ્ઘાટન કર્યું હતું. સ્વચ્છ ઇંધણ અપનાવવા તરફ એક મહત્ત્વનું પગલું લેતા, DPA દ્વારા મેસર્સ થર્મેક્સને ભારતમાં પ્રથમ 5 TPD ગ્રીન મિથેનોલ સુવિધા વિકસાવવા માટે LOA આપવામાં આવ્યો છે, જે કંડલાને દેશમાં વૈકલ્પિક દરિયાઈ બળતણ માળખાના મોખરે મૂકે છે. આ કામોનું ખાતમુહૂર્તઓઇલ જેટી નંબર 7 થી Y-જંકશન સુધી કેમિકલ પ્રોડક્ટ પાઇપલાઇન નાખવી અને પ્રદાન કરવી, દીનદયાળ પોર્ટ ખાતે કાર્ગો બર્થ નંબર 1 થી 6 પર ફેન્ડર્સનું અપગ્રેડેશન, પોર્ટ ટાઉનશિપ, ગોપાલપુરી, ગાંધીધામ ખાતે E-પ્રકારના રહેણાંક ક્વાર્ટર્સનું નિર્માણ, વહીવટી કાર્યાલય બિલ્ડિંગ, ગાંધીધામ ખાતે કોન્ફરન્સ હોલનું બાંધકામ, પોર્ટ ટાઉનશિપ, ગોપાલપુરી, ગાંધીધામ ખાતે એક નવા શોપિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ, અને CSR પહેલ હેઠળ શિણાય ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કોમ્યુનિટી હોલનું નિર્માણ સામેલ છે.
ભાસ્કર વિશેષ:મંગળવારે સૂર્યનો ધનપ્રવેશ, સવારે 4.20થી ધનારક કમુરતાં
મંગળવારે વહેલી સવારે 4.20 વાગ્યે રાજાદિ ગ્રહ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે, જે ધન સંક્રાંતિ પ્રારંભ કહેવાશે. આ ભ્રમણ એક મહિનો રહેવાથી જ્યોતિષશાસ્ત્રની પરિભાષામાં ધનારક કમુરતાં કહેવાય છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે શુભ-માંગલિક કાર્યો નિષેધ ગણાય છે. નર્મદા નદીના ઉપરના ભાગના વિસ્તારમાં કમુરતાંનો દોષ ગણાતો નથી. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે સૂર્યનો ગુરુની રાશિમાં પ્રવેશ થતાં નૈસર્ગિક રીતે સૂર્યનું બળ કંઈક અંશે ઘટે છે માટે કોઈ પણ શુભ કાર્યોમાં બરકત રહેતી નથી. બારેય રાશિના જાતકો પર ધન સંક્રાંતિની શુભાશુભ અસર કમુરતામાં શુભ કાર્યો વર્જિત શા માટે?જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્ય આત્મા, તેજ, સત્તાનો કારક મનાય છે. આથી શુભ કાર્યોમાં સૂર્યની સ્થિતિ અત્યંત મહત્ત્વની ગણાય છે. જ્યારે ધન રાશિ પોતાના સ્વામિ ગુરુના તત્ત્વચિંતન, વૈરાગ્ય, ધર્મ, વિદ્યાના કારકત્વ પ્રમાણેનો સ્વભાવ ધરાવે છે. આથી આ રાશિ ભૌતિકતાને બદલે આધ્યાત્મિક વિચારો તરફ વ્યક્તિને ઢાળે છે. આથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે ત્યારે સૂર્યની પ્રવર્તક શક્તિ અને ધનની વૈરાગ્ય/ચિંતન શક્તિ એકબીજાને પૂરતો સહકાર નથી આપતા. આથી શુભ કાર્યો વર્જિત ગણવામાં આવે છે.
જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામમાં જગતજનની મા ઉમિયાનું વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં વિધિ યોજાઈ હતી. તેમાં 108 દંપતી/યજમાન દ્વારા ગંગાજળથી ભરેલા 108 કળશ ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા હતા. સાથે જ દેશની 108 પવિત્ર નદીના જળથી સમગ્ર ગર્ભગૃહ પવિત્ર કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું કે જ્યાં મા ઉમિયા બિરાજમાન થવાનાં છે તે સ્થાનની નીચે ગંગાજળ ભરેલા 108 કળશ તથા શાસ્ત્રોમાં ઉલ્લેખિત 108 નદીનાં પવિત્ર જળથી ભરેલો કળશ પ્રસ્થાપિત કરાયો છે. કાશ્મીરથી હિમાલય, અરૂણાચલથી દક્ષિણ ભારત સુધીના વિદ્વાન બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ પવિત્ર જળ એકત્ર કરાયું છે. ડિસેમ્બર, 2027માં મા ઉમિયા વિશ્વ ઉમિયાધામમાં બિરાજમાન થશે અને પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. 51 ભક્તે 365થી વધુ દિવસની યાત્રા કરી જળ એકત્ર કર્યું108 નદીનાં જળ એકત્રીકરણ માટે 51થી વધુ ભક્તો 365થી વધુ દિવસની યાત્રા ખેડી હતી. ટીમે હિમાલયમાં પણ 20 દિવસનું રોકાણ કર્યું હતું. આ નદીઓમાં માનસરોવર, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા, બ્રહ્મપુત્રા, સિંધુ, સરયૂ, ગોમતી, ઘાઘરા, સોન, ચંબલ, તાપી, મહાનદી, કોશી, ગંડક, સાબરમતી, મહી, પેરિયાર, વૈગાઈ, તામિરપરણી, કાબીની, ભારથપુઝા, નેત્રાવતી, શરાવતી, મંડોવી, ઝુઆરી, અલકનંદા, ભાગીરથી, મંદાકિની, ધૌલીગંગા, બિયાસ, રાવી, ચેનાબ, ઝેલમ, સતલુજ, લૂણી, સરસ્વતી (ગુપ્ત), દૃષ્ટદ્વતી, હિરણ્યવતી, પયસ્વિની, ગૌતમિ, રેવતી, વિશ્વામિત્રી, દેવિકા, વૈતરણી, સુવર્ણરેખા, દામોદર, તિસ્તા, લોહિત, બરાક, કોપિલી, માનસ, સુબંસિરી, કામેંગ, સિયાંગ, ઇન્દ્રાવતી, પ્રણહિતા, શબરી, સિલેરુ, પાપનાશિની, પર્ણશા, નૈરંજના, કુશાવતી, કપિલા, પિંડર, ટોન્સ, ભદ્રા, ભીમા, તુંગભદ્રા, મુસી, મલપ્રભા, ઘટપ્રભા, વારદા, પેનાર, કેન, બેટવા, અજય, કાંસાઈ, દ્વારકાવતી, પ્રાચી સહિતની નદીઓનો સમાવેશ થાય છે.
ગૌસંરક્ષણ માટે ન્યુ રાણીપમાં શ્રીમદ્ ભાગવત્ કથા:સામાજિક સંદેશા સાથે 1100 કળશ સાથેની યાત્રા નીકળી
ગૌસંરક્ષણ-સંવર્ધન અને નસલ સુધારણા માટે દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા શ્રીમદ્ ભાગવત્ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. ન્યુ રાણીપ વિસ્તારમાં સરદાર ચોક ચાર રસ્તા પાસેના કોર્પોરેશન પ્લોટમાં 14થી 20 ડિસેમ્બર સુધી કથા સંભળાવાશે. કથાના એક દિવસ પહેલાં શનિવારે બપોરે 3 વાગ્યે 1 કિલોમીટરની મંગળકળશ યાત્રા નીકળી હતી. આ યાત્રા કથાસ્થળેથી સ્મૃતિ સર્કલ, આનંદ પાર્ટીપ્લોટ, માણકી સર્કલ, સરદાર ચોક થઈ કથાસ્થળે પરત ફરી હતી. યાત્રામાં વિવિધ ઝાંખી સાથે 1100 કળશધારી મહિલા જોડાઈ હતી. ગુરુ શ્રી આશુતોષ મહારાજનાં શિષ્યા સાધ્વી સુશ્રી આસ્થા ભારતીજી રોજ સાંજે 4.30થી રાત્રિના 8.30 સુધી કથાનું રસપાન કરાવશે.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોને કસ્ટમ સંબંધિત પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અરાઇવલ હોલ ખાતે પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર (PFC) શરૂ કરાયું છે. ખાસ કરીને પેસેન્જરને બેગેજ રૂલ્સ, ડેકલેરેશન, ડ્યુટી અથવા કસ્ટમ ક્લીયરન્સ અંગે પ્રશ્ન અંગે તેમણે અત્યાર સુધી અલગ અલગ કાઉન્ટર અને અધિકારીઓનો સંપર્ક કરવો પડતો હતો. હવે એક જ સ્થળેથી કસ્ટમ સંબંધિત તમામ માહિતી માર્ગદર્શન સહાય મળી રહેશે. પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર પર મુસાફરોને બેગેજ અટકાવાની સ્થિતિ, ડેકલેરેશન પ્રક્રિયા, કસ્ટમ્સ નિયમો અથવા અન્ય કોઈ પણ સમસ્યામાં તાત્કાલિક અને જવાબદારીપૂર્વક મદદ કરાશે. પેસેન્જર ફોન કે ઈમેઈલથી પણ સંપર્ક કરી શકે છેકસ્ટમ્સ વિભાગે આ સેન્ટર એરપોર્ટના અરાઇવલ હોલમાં ગેટ નંબર 8 પાસે શરૂ કર્યું છે. પેસેન્જરો ઇમેઇલ અથવા ફોનથી સંપર્ક કરી શકે છે. - શ્રીરામ બિશ્નોઈ, એડિ. કમિશનર ઓફ કસ્ટમ
અધિકારીઓની રહેમનજરના લીધે ધમધમતા દબાણ:જાહેર હરાજીમાં મુકાનારા પ્લોટ પર જ ખાણીપીણીની લારીઓનું દબાણ
મ્યુનિ.ના માલિકીના પ્લોટમાં દબાણો ન થાય તે માટે મ્યુનિ. કમિશનરે સીસીટીવી કેમેરા લગાવવા અને દબાણો હોય તો તેને દૂર કરવા સ્પષ્ટ સૂચના આપી છે. જોકે અધિકારીઓ મ્યુનિ. કમિશનરનું જ ગાંઠતા નથી. ચાંદખેડામાં 4ડી સ્ક્વેર મોલની સામેના મ્યુનિ.ના પ્લોટમાં રાત્રિ દરમિયાન 10થી 15 ખાણી-પીણીની લારીઓ મૂકી દબાણ કરાયું છે. વોર્ડના એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલીભગતથી મ્યુનિ.ની માલિકીના પ્લોટમાં દબાણો છે તેવું ચર્ચાઈ રહ્યું છે. જોકે મહત્ત્વનું છે કે, આ પ્લોટ મ્યુનિ.એ વેચવા કાઢ્યો છે. વિસત ગાંધીનગર હાઈવે પર પેલેડિયમ બિઝનેસ હબ છે. તેની બાજુમાં જ મ્યુનિ.ની 2477 ચોરસ મીટર જગ્યા છે. આ દબાણ ન થાય તેના માટે મ્યુનિ.એ પ્લોટની ફરતે આરસીસીની દીવાલ ઊભી કરી છે. જોકે દરવાજો લગાવ્યો નથી, જેના કારણે લોકો તેની અંદર પ્રવેશ કરે છે. ચાંદખેડાના કોર્પોરેટરને તેના વિસ્તારની જ ખબર નથીચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટર રાકેશકુમાર બ્રહ્મભટ્ટને જ્યારે પ્લોટના દબાણ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, આ પ્લોટ મારા વોર્ડમાં નથી આવતો. સાબરમતી વોર્ડમાં આવે છે. આથી તમે તે વોર્ડના કોર્પોરેટરને પૂછો. સાબરમતી વોર્ડના કોર્પોરેટર રમેશ રાણાને પૂછતા તેમણે સ્પષ્ટતા કરી કે મોલનો ભાગ મારામાં આવે છે, પણ પ્લોટ ચાંદખેડા વોર્ડમાં આવે છે. પ્લોટમાં સીસીટીવી, સેન્સર લગાવવા જાહેરાત કરાઈ હતી2022માં મ્યુનિ.ના પ્લોટમાં દબાણો રોકવા સીસીટીવી કેમેરા લગાવવા માટેનું 15 કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું. ટેન્ડરની શરત મુજબ, આ પ્લોટમાં જે કેમેરા લગાવવાના હતા તેને દિવસમાં 2થી 3 ફોટો પાડીને કન્ટ્રોલ રૂમમાં મોકલવાની તથા પ્લોટની ફરતે કરેલી દીવાલ પર સેન્સર લગાવવાની વાત કરવામાં આવી હતી. જોકે તેનો કોઈ અમલ થયો નથી.
પક્ષોના નામે દાન બતાવનારા સામે CBDTની ઝુંબેશ:બોગસ દાન બતાવી ભરેલું રિટર્ન સુધારવા વધુ એક તક
વચેટિયા કમિશન લઈને અજાણ્યા રાજકીય પક્ષો અને ટ્રસ્ટોનાં નામે બોગસ દાન બતાવી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરાવતા હતા, જેથી આવકવેરા વિભાગે અમાન્ય રાજકીય પક્ષો પર દરોડા પાડીને તેમને કોણે કોણે દાન આપ્યું છે તેની વિગતો એકત્રિત કરી હતી. આવકવેરા વિભાગે કરદાતાઓને ખોટા દાવા સુધારવાની છેલ્લી તક આપવા માટે ખાસ નજ ઝુંબેશ શરૂ કરી છે. વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે એસએમએસ, ઇમેઇલથી આવતી સૂચનાઓ અવગણશો નહીં. તાજેતરમાં સામે આવેલા બોગસ દાન અને ખોટી કપાતના કેસોની તપાસમાં ખુલ્યું કે, કેટલાક વચેટિયા કમિશન લઈને અજાણ્યા રાજકીય પક્ષો અને ટ્રસ્ટોના નામે ખોટા દાન બતાવી આવકવેરા રિટર્ન ફાઇલ કરાવતા હતા. આવા કેસોમાં કલમ 80G અને 80GGC હેઠળ ખોટી કપાત લેવાતી હતી. કરદાતાને તક આપવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ કરદાતા-મૈત્રીપૂર્ણ નજ ઝુંબેશ શરૂ કરી છે. આ રીતે સમજો: વચેટિયા કેવી રીતે ટેક્સ બચાવે છે
SIRની કામગીરી:મતદારોનાં ફોર્મના ડિજિટલાઈઝેશનનું કામ બંધ, હવે બે દિવસ મેપિંગ કરાશે
મતદારોના એન્યુમરેશન ફોર્મ ડિજિટલાઈઝેશનની કામગીરી રવિવાર બંધ કરી દેવાઈ છે. છે. જ્યારે જે ફોર્મ ડિજિટલાઈઝેશન કરી દેવાયા છે તેઓના નામ ચકાસણી બાદ ડ્રાફ્ટ યાદીમાં જાહેર કરાશે. જે લોકોના નામ યાદીમાં નહીં આવે તેઓને નોટિસ અપાશે. નોટિસ મળ્યા બાદ તેઓને ચૂંટણીપંચે નક્કી કરેલા પુરાવાના આધારે અરજી કરવાની રહેશે અને પોતાનું નામ ફાઈનલ યાદીમાં જોડાવવાની પ્રક્રિયા કરવાની રહેશે. જે લોકોના નામ ડ્રાફ્ટ યાદીમાં નહીં આવે તેઓ ફોર્મ-6ની સાથે પૂરતા પુરાવા આપીને નામની નોંધણી કરાવી શકશે. હાલમાં કલેક્ટર કચેરી દ્વારા ત્રણ દિવસ સુધી જે મતદારોના નામની મેપિંગની કામગીરી બાકી રહી ગઈ છે તે કામગીરી કરાશે. હાલમાં 10.43 લાખથી લોકોના નામની મેપિંગની કામગીરી હજુ બાકી છે. મતદારોના એન્યુમરેશન ફોર્મમાં ભરેલ વિગતમાંથી જોઈને તેઓ કે સંબંધીઓનું નામ 2002ની યાદીમાં શોધવાના કામને મેપિંગ કામગીરી તરીકે ઓળખાશે. જેમના નામ ડ્રાફ્ટ યાદીમાં નહીં આવે તેઓ 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી વાંધા સૂચનો મોકલી શકશે. 2.25 લાખ મતદારો ઘરે ન મળ્યા- 62.59 લાખ મતદારો શહેરમાં નોંધાયેલા છે.- 8.01 લાખ એન્યુમરેશન ફોર્મ ભરાયાં છે.- 8.64 લાખ મતદારો કાયમી સ્થળાંતર.- 2.25 મતદારો ગેરહાજર જોવા મળ્યા.- 2.53 લાખ મતદારો મૃત્યુ પામ્યા છે.
ભાસ્કર એક્સક્લુસિવ:બ્રિજ ઇન્સ્પેક્શન સેલ બે વર્ષથી કાગળ પર, મંજૂરી છતાં હજુ સુધી એકપણ ભરતી ન થઈ
શહેરમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે બ્રિજની સંખ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિમાં બ્રિજની સલામતી અને જાળવણી માટે અલગ બ્રિજ ઇન્સ્પેક્શન સેલની જરૂરિયાત ઊભી થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખી મ્યુનિ. કમિશનરે માર્ચ 2023માં બ્રિજ ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ સેલને મંજૂરી આપી હતી. સેલમાં કુલ 11 બ્રિજ ઇન્સ્પેક્ટરની જગ્યા મંજૂર કર્યાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં હજુ એકપણ ભરતી કરાઈ નથી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર તથા હાઈકોર્ટે વર્ષમાં બે વખત બ્રિજનું ઇન્સ્પેક્શન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. બ્રિજ ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ સેલમાં બે સિનિયર બ્રિજ ઇન્સ્પેક્ટર, બે બ્રિજ ઇન્સ્પેક્ટર, ચાર આસિસ્ટન્ટ બ્રિજ ઇન્સ્પેક્ટર, ચાર જુનિયર બ્રિજ ઇન્સ્પેક્ટરની જગ્યા મંજૂર કરવામાં આવી છે. હાલ મ્યુનિ.ની હદમાં કુલ 94 બ્રિજ છે. જોકે બ્રિજ વિભાગમાં મંજૂર 38 મહેકમ સામે ફક્ત 17 કર્મચારી જ કાર્યરત છે, જ્યારે 21 જગ્યા ખાલી પડી છે. પરિણામે ઉપલબ્ધ સ્ટાફ પર કામનો ભારે બોજ પડી રહ્યો છે. નિયમ મુજબ જે બ્રિજનું કામ ચાલુ હોય ત્યાં એક આસિસ્ટન્ટ એન્જિનિયર ફરજિયાત હોવો જોઈએ, પરંતુ હાલ એક આસિસ્ટન્ટ એન્જિનિયર ત્રણથી ચાર બ્રિજની કામગીરી સંભાળી રહ્યો છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, વિભાગમાં જગ્યાની ભારે અછત છે. અધિકારીઓ ઓવરટાઇમ કરી રહ્યા છે. ચાલી રહેલા કામની દેખરેખ ઉપરાંત નવા બ્રિજની યોજના, ટ્રાફિક સરવે, નેશનલ હાઈવે, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ, રેલવે અને બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે સંકલન, શહેરના તમામ બ્રિજનું નિયમિત ઇન્સ્પેક્શન કરવાનું ભારણ એક જ ટીમ પર છે. 5 એજન્સી દર 6 મહિને તમામ બ્રિજના ઇન્સ્પેક્શનનું કામ કરી રહી છે: મ્યુનિ.એન્જિનિયર વિભાગમાં ભરતી માટે જાહેરાત આપી દેવામાં આવી છે. હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂરી થશે. ભરતી ટૂંક સમયમાં જ થઈ જશે. આ સિવાય બ્રિજ ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ સેલ માટે 5 વિવિધ એજન્સીની પેનલ બનાવાઈ છે. જે દર છ મહિને બ્રિજનું ઇન્સ્પેક્શનની કામગીરી કરે છે. - દેવાંગ દાણી, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી બ્રિજ પર બેરિયરનો નિર્ણય પરત ખેંચાયોમ્યુનિ.એ શહેરના 19 જૂના બ્રિજ પર હાલ હાઇટ બેરિયર ન લગાવવાનો નિર્ણય લીધો છે. બ્રિજ એક્સપર્ટ સાથે ચર્ચા બાદ મળનારા રિપોર્ટના આધારે જ હાઇટ બેરિયર લગાવવાની જરૂરિયાત અંગે અંતિમ નિર્ણય લેવાશે. અગાઉ મ્યુનિ.એ ભારે વાહનો અટકાવવા માટે હાઇટ બેરિયર લગાવવાના 3 કરોડનાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં, પરંતુ હવે કોઈ એજન્સીની નિમણૂક કર્યા વિના નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
દિવાળી પછી 25 ઑક્ટોબરથી અંધજન મંડળે અમદાવાદમાં આઈ બેંક શરૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે દોઢ મહિનાના ચાર લોકોએ ચક્ષુદાન મળ્યું છે, જેનાથી આઠ લોકોને દૃષ્ટિ મળી છે, જ્યારે અત્યાર સુધીમાં 10થી વધુ લોકોએ ચક્ષુદાન માટે નોંધણી કરાવી છે. હોસ્પિટલમાં આંખના કેમ્પ અને વિઝન સેન્ટર મારફતે સતત નવા દર્દીઓ નોંધાતા રહેતા હોવાથી કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોનારાઓની સંખ્યા 180 થઈ છે. આઈ બેંકમાં મળેલી કોર્નિયા બારેજાની હોસ્પિટલના દર્દીઓને જ અપાય છેઆઈ બેંકની ખાસિયત એ છે કે અહીં એકત્ર કરાયેલી કોર્નિયા સંસ્થાની પોતાની બારેજા ખાતેની હોસ્પિટલમાં જ ઉપયોગમાં લેવાય છે, કારણ કે અહીં પહેલેથી જ મોટી સંખ્યામાં દર્દીઓ રાહ જોઈ રહ્યા છે. -ભૂષણ પૂનાની, જનરલ સેક્રેટરી, અંધજન મંડળ પ્રજ્ઞાચક્ષુ બાળકોની પીડા નજીકથી જોઈ છેહું વર્ષોથી અંધજન મંડળમાં બાળકો સાથે કામ કરી રહી છું. તેમની પીડા નજીકથી અનુભવી છે. આઈ બેંક શરૂ થતા મને એક રસ્તો મળી ગયો આ બાળકોને મદદ કરવાનો. મને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો. મારા મિત્રો પણ ચક્ષુદાન કરવા પ્રેરિત થયા છે. - મધુરલતા શર્મા, ચક્ષુદાતા મૃત્યુ બાદ કોર્નિયા લઈ 3થી 4 દિવસ સુરક્ષિત રીતે રખાય છેચક્ષુદાનની પ્રક્રિયા મૃત્યુ બાદ તરત શરૂ થાય છે. જે વ્યક્તિ એ પ્લેજ કર્યું હોય તેના મૃત્યુની જાણ થતા મેડિકલ ટીમ 2 કલાકની અંદર સ્થળ પર પહોંચે છે. અહીં આખી આંખ કાઢવામાં આવતી નથી, પરંતુ માત્ર કોર્નિયા લેવામાં આવે છે. એકત્ર કરાયેલા કોર્નિયાને મેડિકલ લિક્વિડમાં રખાય છે, જેથી તે 3થી 4 દિવસ સુધી ઉપયોગ માટે સુરક્ષિત રહે. આઈ સ્ટોરેજ યુનિટમાં દાનમાં મળેલી કોર્નિયાને નિયંત્રિત ઠંડા તાપમાન અને પ્રકાશ હેઠળ રાખવામાં આવે છે જેથી કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સુધી સુરક્ષિત રહે.
સિટી એન્કર:ઠંડીની મોસમ, ઉત્સવોની ઉષ્મા: શિયાળામાં ભારતભરના 11 અનોખા તહેવારો
શિયાળાની ઋતુ આવતાં જ દેશભરમાં તાપમાનમાં ઘટાડો થાય છે, જેમાં આ ગુલાબી ઠંડીના વાતાવરણમાં ભારતીય તહેવારોનો ઉત્સાહ વધુ જોરદાર બનતો હોય છે. ભારત એક બહુવૈવિધ્ય ધરાવતો દેશ છે જ્યાં અલગ-અલગ સંસ્કૃતિઓનું સંગમ જોવા મળતો હોય છે. શિયાળાના દિવસો દેશભરમાં વિવિધ સ્થળો પર વિશિષ્ટ પ્રકારના ઉત્સવોના આયોજનનું કારણ બને છે, જે દેશની પરંપરા, કલા અને સાહિત્યને એક મંચ પર લાવે છે. ઉત્સવો : રણના મેળાથી લઈને પર્વતીય કાર્નિવલ સુધી દરેક ઉત્સવો દેશને અનંત રીતે આકર્ષક બનાવે છે કચ્છથી કોહિમા: વૈવિધ્યસભર ઉત્સવોની ઝલક રણોત્સવ (ધોરડો, કચ્છ): ગુજરાતનો આ ઉત્સવ ધોરડો ખાતે સફેદ મીઠાના રણને એક અલગ જ દુનિયા બનાવી દે છે. ચાંદીના ક્ષિતિજ પર ઊંટ ગાડાઓ, ગુજરાતી લોકસંગીત, કચ્છી ભરતકામ, અરીસાના કામની હસ્તકલા અને રણ કેમ્પિંગ આ ઉત્સવને વધુ આકર્ષિત કરે છે. પુષ્કર ઊંટ મેળો (પુષ્કર, રાજસ્થાન): હજારો ઊંટ, શેરી કલાકારો, મૂછ સ્પર્ધાઓમાં ભાગ લેતા સ્થાનિકો અને યાત્રાળુઓ માટે આ શહેર એક એવું મંચ બની જાય છે જ્યાં પરંપરા અને પર્યટન એકસાથે નૃત્ય કરે છે. જેસલમેર રણ મહોત્સવ (જેસલમેર, રાજસ્થાન): શિયાળો થારના રણમાં પ્રવેશે છે તેમ ટેકરાઓ ગીત, દોડ અને હાસ્યથી જીવંત થઈ જાય છે. ઊંટો મૈત્રીપૂર્ણ હરીફાઈમાં રેતી પર દોડે છે અને રાત્રિઓ આગ, સંગીત અને તારાઓના પ્રકાશ સાથે સમાપ્ત થાય છે. હોર્નબિલ ફેસ્ટિવલ (કોહિમા પાસે, નાગાલેન્ડ): નાગાલેન્ડના ૧૬ મુખ્ય આદિવાસીઓમાંથી દરેક તેમના પરંપરાગત નૃત્યો, મજાકની લડાઈઓ અને વાંસની રમતો રજૂ કરે છે. હવે તેમાં રોક કોન્સર્ટ અને જીવંત રાત્રિ બજારનો પણ સમાવેશ થાય છે. કલા, સાહિત્ય - સંગીતનો સંગમ જયપુર લિટરેચર ફેસ્ટિવલ (જયપુર, રાજસ્થાન): ‘પૃથ્વી પરનો સૌથી મહાન સાહિત્યિક કાર્યક્રમ’ ગણાતો આ ફેસ્ટિવલ નોબેલ પુરસ્કાર વિજેતાઓ, લેખકો, પત્રકારો, સંગીતકારો અને હજારો વાચકોને એકસાથે લાવે છે. ચેન્નાઈ મ્યુઝિક સીઝન (ચેન્નાઈ, તમિલનાડુ): ગાયકો, વાયોલિન વાદકો અને નર્તકો શહેરના સભાઓને શાસ્ત્રીય ધૂનોથી ભરી દે છે. હેરિટેજ હોલમાં ગુંજતા આ સંગીતની બહાર, ફિલ્ટર કોફી વિક્રેતાઓ દરેકને ઉત્સાહિત રાખે છે. કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (કોલકાતા, પ. બંગાળ): અહીં બંગાળનો વાર્તા કહેવાનો વારસો વૈશ્વિક સિનેમાને મળે છે. ફિલ્મ રસિકો વિશ્વ સિનેમા અને ભૂતકાળની ફિલ્મો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. હસ્તકલા, કાર્નિવલ અને વાઇન ફેસ્ટ સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો (ફરીદાબાદ, હરિયાણા): દર વર્ષે એક ‘થીમ સ્ટેટ’ દ્વારા સજાવટ કરાતો આ મેળો ભારતીય કારીગરીનો પ્રેમ પત્ર છે, જ્યાં દેશની વિવિધ હસ્તકલાઓનો લાભ એક સ્થળે મળે છે. તાજ મહોત્સવ (આગ્રા, ઉ.પ્રદેશ): દસ દિવસનો આ ઉત્સવ ભારતીય વારસો પ્રદર્શિત કરે છે, જ્યાં લાકડા અને આરસપહાણની કોતરણી કરનારા કારીગરો, કથ્થક અને લોક નર્તકો પોતાની કલાનું પ્રદર્શન કરે છે. ગોવા કાર્નિવલ (પણજી અને મુખ્ય શહેરોમાં): ભારતની મોડી રાત સુધી ચાલતી સ્ટ્રીટ પાર્ટી તરીકે જાણીતો આ કાર્નિવલ દરિયાકાંઠાના આનંદ અને કેથોલિક વારસાનું મિશ્રણ દર્શાવે છે. શિમલા વિન્ટર કાર્નિવલ (શિમલા, હિમાચલ. પ્રદેશ): આઇસ-સ્કેટિંગ ચેમ્પિયનશિપ, હિમાચલી લોકનૃત્ય, ફેશન પરેડ અને લાઇવ સંગીત આ પહાડી શહેરને ઉર્જાથી ભરી દે છે. સુલા ફેસ્ટ (નાસિક, મહારાષ્ટ્ર): સુલા ફેસ્ટ ઇન્ડી સંગીતને લક્ઝરી સાથે જોડે છે. દ્રાક્ષના વેલા વચ્ચે ઇલેક્ટ્રોનિક ડીજેથી જાઝ સુધીની લાઇવ લાઇનઅપ આ ફેસ્ટને ભારતની સૌથી સ્ટાઇલિશ વાઇનયાર્ડ પાર્ટી બનાવે છે.
સાઇબર ક્રાઇમના પૈસા ટ્રાન્સફર કરવા તથા ઉપાડવા માટે ગઠિયા જે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરે છે તેવાં મ્યુલ ખાતાધારકો સામે ગુના નોંધી ધરપકડ કરવા ગુજરાતભરમાં ડ્રાઈવ શરૂ કરાઈ છે. ચાલુ વર્ષે 8 મહિનામાં 1800 મ્યુલ બેંક ખાતાંમાં રૂ.100 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન પકડાયાં છે. જ્યારે રાજ્યભરમાં મ્યુલ ખાતાંનો આંકડો 10 હજાર છે, જેમાં રૂ.500 કરોડના ટ્રાન્ઝેક્શન કરાયાં છે. દુબઈ, કમ્બોડિયા, મ્યાનમાર, ચીનમાં બેઠેલા સાઇબર ગઠિયા ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા મ્યુલ બેંક ખાતાંનો ઉપયોગ કરે છે. આવા મ્યુલ ખાતાધારકો સામે ગુજરાતમાં ખાસ ડ્રાઇવ શરૂ કરાઇ છે. તેમાં ખાસ કરી ફર્સ્ટ લેયરવાળા મ્યુલ બેંક ખાતાં કે જેમાં સાઈબર ફ્રોડના પૈસા સીધા ટ્રાન્સફર થયા છે તેવાં ખાતાંની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં મ્યુલ બેંક એકાઉન્ટની સંખ્યા સાડા 3 લાખથી 4 લાખ, જેમાં ખાતાધારકની સીધી સંડોવણી મનાય છે ચેક, એટીએમથી પૈસા ઉપડ્યા હોય તેવા ખાતાં સામે જ હાલ કાર્યવાહીપોલીસનું કહેવું છે કે આમ તો ગુજરાતમાં મ્યુલ બેંક ખાતાંની સંખ્યા 3.50થી 4 લાખ જેટલી છે. હાલમાં જે ખાતાધારકો સામે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, એવાં જ ખાતાધારકો સામે ગુનો નોંધવામાં આવી રહ્યા છે, જેમાં પૈસા ચેકથી કે એટીએમથી ઉપાડ્યા હોય. આ બંને કિસ્સામાં ખાતાધારકની સીધી સંડોવણી સાબિત કરી શકાય છે. જાણ બહાર ખાતું કોઈ વાપરતું હોય તો પગલાં નહિ લેવાયહાલ પોલીસે જે ડ્રાઈવ શરૂ કરી છે. તેમાં કેટલાક એવા પણ બેંક ખાતાધારક મળ્યા છે, જેમની જાણ બહાર તેમનાં ખાતાં ખોલાવાયાં હતાં. આવા ખાતાધારકો સામે પોલીસ કોઈ પગલાં નહીં લે. જ્યારે ચાલુ વર્ષના મ્યુલ ખાતાધારકો સામે કાર્યવાહી પૂરી થયા બાદ ભૂતકાળમાં જે મ્યુલ ખાતાંનો ઉપયોગ થયો હતો તેમની સામે કાર્યવાહી શરૂ કરાશે. લોકો લાલચમાં આવી બેન્ક ખાતું ભાડે ન આપે એટલે કડક કાર્યવાહીપોલીસનું કહેવું છે કે, ઘણાં લોકો થોડા પૈસાની લાલચમાં બેંક ખાતું ભાડે આપે છે. જ્યારે ખાતું ભાડે લેનાર ખાતાધારક પાસેથી ચેકબુક, ડેબિટ કાર્ડ, પાસબુક લઈ લે છે. પછી તે ખાતામાં કેટલા ટ્રાન્ઝેક્શન થયાં, પૈસા ક્યાંથી આવ્યા તે જોતાં નથી. હાલ તેમની સામે ગુનો નોંધી જેલ ભેગા કરાઈ રહ્યા છે, જેથી લાલચમાં આ રીતે ખાતું ભાડે ન આપે.
કસોટી:કચ્છમાં 6277 છાત્રોએ જવાહર વિદ્યાલયની પરીક્ષા આપી
કચ્છ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા તમામ તાલુકાના 29 કેન્દ્રોમાં લેવાઈ હતી.પરીક્ષામાં 7201 વિદ્યાર્થીમાંથી 6277 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. જેમાં રાપરના શિક્ષકોની જાગૃતિના કારણે જિલ્લામાં રેકોર્ડબ્રેક 1100 બાળકો પરીક્ષા આપવા હાજર રહ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે લેવામાં આવતી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર અને મેરીટમાં આવનાર વિદ્યાર્થીને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવે છે તેમજ ધો.6 થી 12 સુધીના ઉચ્ચ અભ્યાસ માટે શિક્ષણ તેમજ હોસ્ટેલમાં રહેવાની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. જિલ્લામાં સૌથી વધુ રાપરના 1105 વિધાર્થીઓએ પોતાના જીવનની પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી.રાપર સરકારી હાઈસ્કૂલમાં કુલ 312 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાં 275 હાજર રહ્યા હતા.મોર્ડન સ્કૂલ ખાતે 312 માંથી 283 હાજર રહ્યા હતા તો સરસ્વતી કન્યા શાળામાં કુલ 288 માંથી 250 સેન્ટ ઝેવીયસમાં 192 માંથી 171 વિદ્યાર્થી જોડાયા હતા. કુલ 979 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય તે માટે રાપર ટીપીઓના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.જેમાં વિદ્યાર્થીઓના ઓનલાઇન ફોર્મ શિક્ષકોએ જ ભર્યા તેમની હોલ ટિકિટ કાઢી અને કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાલીઓ હાજર ના હોતા ખુદ શિક્ષકો વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી લઈ જઈને પરીક્ષા અપાવી અને ગેટની બહાર 3-3 કલાક શિક્ષકો વિદ્યાર્થીઓની રાહ જોઈને ખડેપગે હાજર રહ્યા હતા. જેના કારણે રાપર તાલુકામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા રાજી થયા હતા.એસઆઈઆર સહિતની વિવિધ કામગીરી વચ્ચે પણ રાપર તાલુકાના શિક્ષકોએ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરતા વાલીઓએ પણ શિક્ષકોના કાર્યની સરાહના કરી હતી.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ રાપર તાલુકામાં યોજાયેલ જવાહર નવોદય પરીક્ષામાં 21 વિદ્યાર્થી મેરીટમાં આવ્યા હતા. જે હાલે જે.એન.વી. ડુમરા ખાતે અભ્યાસ કરી રહ્યા છે. લખપત તાલુકાના દયાપરમાં આવેલ મોડેલ સ્કૂલ ખાતેના કેન્દ્રમાં શનિવારે લેવામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.5 ના વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક પરીક્ષા આપી હતી.કેન્દ્ર સંચાલક નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, કુલ 312 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 229 છાત્રો હાજર રહ્યા હતા ત્યારે 83 બાળકો ગેરહાજર રહ્યા હતા.
ટેન્ડરિંગ પ્રક્રિયા:કૃષ્ણાજી પુલના પુન:નિર્માણ માટેના ટેન્ડર 22મી ડિસેમ્બરના ખુલશે
કૃષ્ણાજી પુલના પુન:નિર્માણની ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે અને 16મી છેલ્લી તારીખ છે. જે બાદ 22મી ડિસેમ્બરે ટેન્ડર ખુલશે. ત્યારે ખબર પડશે કે, હજુ પ્રતિબંધિત રહેશે કે તોડી પાડીને કામ આગળ વધશે. વર્ષ 2022ની 30મી ઓકટોબરે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને તેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા, જેથી સરકારે રાજ્યના તમામ જર્જરિત પુલના સ્ટેબેલિટી સર્ટીફિકેટ ન આવે ત્યાં સુધી પ્રતિબંધિત રાખવા હુકમ કર્યો હતો, જેમાં ભુજના હમીરસર તળાવના કૃષ્ણાજી પુલનો પણ સમાવેશ થયો હતો. જોકે, સ્ટેબેલિટી સર્ટીફિકેટ આપવામાં જવાબદાર તમામ સરકારી તંત્રોમાં ખોખોની રમત રમાઈ હતી, જેથી પ્રતિબંધિત કૃષ્ણાજી પુલને યથાવત સ્થિતિમાં રાખી ઉપયોગમાં લેવો કે નવેસરથી બનાવવું એ નિર્ણય લઈ શકાયો ન હતો અને 3 વર્ષ સુધી અનિર્ણાયક સ્થિતિમાં રહ્યો હતો. જે બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા સુધી પહોંચી ગયો છે. બાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ બાપાલાલ જાડેજાએ જણાવ્યું હતું કે, 22મી ડિસેમ્બરે સ્થિતિ સ્પષ્ટ થશે.
રાજ્યના આશરે 32 હજાર મેડિકલ સ્ટોર પર કડકાઈ લાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2023માં પસાર કરેલા જન વિશ્વાસ (સુધારાની જોગવાઈ) એક્ટ હેઠળ મેડિકલ સ્ટોરમાં દવાઓના વિતરણ સંબંધિત જોગવાઈઓનો અમલ ગુજરાતમાં 9 ડિસેમ્બર, 2025થી શરૂ કરવાની જાહેરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. નવા નિયમો મુજબ હવે રાજ્યના તમામ મેડિકલ સ્ટોરમાં મેડિકલ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાયેલી દવાઓનું વિતરણ ફરજિયાત રીતે રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ કરવું પડશે. જો કોઈ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ ગેરહાજર હોવા છતાં દવાઓનું વેચાણ થાય અને તે પકડાય, તો તે સંબંધિત રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટને રૂ. 2 લાખનો દંડ અથવા 3 મહિનાની કેદ અથવા બંને સજા એક સાથે થઈ શકે છે. રાજ્યમાં કુલ 32 હજાર મેડિકલ સ્ટોર છે, જેમાંથી અનેક મેડિકલ સ્ટોર હોસ્પિટલની અંદર અથવા ડોક્ટરની દવાખાનાની બાજુમાં ચલાવવામાં આવે છે. એમબીબીએસ અથવા તેથી વધુ લાયકાત ધરાવતા ડોક્ટરો દ્વારા લખાયેલી દવાઓનું વિતરણ કરવાનો અધિકાર માત્ર રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટને જ છે. જોકે, રાજ્યમાં અનેક મેડિકલ સ્ટોર એવા છે જ્યાં ફાર્માસિસ્ટના લાયસન્સના આધારે દુકાન ચલાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ફાર્માસિસ્ટ હાજર રહેતા નથી. આ મુદ્દે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. અગાઉ વર્ષ 2023માં થયેલા કાયદા અનુસાર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ચાલતા મેડિકલ સ્ટોર ઝડપાય તો રૂ. 1 હજારનો દંડ અને 2 દિવસ માટે મેડિકલ સ્ટોર બંધ રાખવાની જોગવાઈ હતી. હવે તેમાં સુધારો કરીને દંડની રકમ રૂ. 2 લાખ સુધી વધારવામાં આવી છે અને સાથે 3 મહિનાની જેલની સજાની જોગવાઈ ઉમેરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કડક કાર્યવાહી કરેરાજ્યના કુલ 32 હજાર મેડિકલ સ્ટોરમાંથી અંદાજે દવાની 18 હજાર દુકાનો ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ચાલી રહી છે. આવા મેડિકલ સ્ટોરને બંધ કરાવવા માટે લાંબા સમયથી રજૂઆતો થઈ રહી હતી. હવે કડક કાયદો અમલમાં આવ્યો હોવાથી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ અમે કરી છે. > રજનીકાંત ભારતીય, પ્રમુખ, ગુજરાત ફાર્માસિસ્ટ અસોસિએશન
છેતરપિંડી કરનારા સામે કાર્યવાહી:સોશિયલ મીડિયા પર ઠગાઈનો પ્રયાસ કરનાર તલવાણાનો ઇસમ ઝડપાયો
સસ્તો સોનુ અને એક લાખના બે લાખ કરી આપવાના નામે ઠગાઈ કરતા ચીટરો અવાર નવાર પોલીસને હાથ લાગી રહ્યા છે ત્યારે હવે માંડવી તાલુકાના તલવાણા ગામનો ઇસમ સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાત કરી ઠગાઈનો પ્રયાસ કરી તલવાણા પાટિયા પાસે ભુજના ચીટરને નકલી નોટોના બંડલ આપે તે પહેલા એલસીબીએ ઉઠાવી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ કોડાય પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,તલવાણા ગામનો આરોપી મજીદ અબ્દુલ્લા થેબા હાલ તલવાણા ગામના પાટીયા પાસે મોપેડ પર હાજર છે.જેની પાસે નોટોના બંડલ છે જેમાં ઉપર અને નીચે અસલી નોટ રાખેલ છે અને વચ્ચે ચિલ્ડ્રન બેંકની નોટો રાખેલી છે.જે ભુજના અઆરોપી અલીશા શેખડાડાને આપવા જવાનો છે.બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો.જેની પૂછપરછ કરતા પોતે નોટોના બંડલનો વિડીયો બનાવી આરોપી અલીશાને મોકલતો હતો અને અલીશા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી એક લાખના પાંચ લાખ આપવાની લાલચે છેતરપિંડી કરે છે. આરોપી પાસેથી રૂપિયા 10,200 ની કિંમતની અસલી નોટો અને નકલી નોટોના 19 બંડલ કબ્જે કરી કોડાય પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર ન મળવાથી વાલીઓ પર બોજ પડશે:ટેટ ઉમેદવારોની કફોડી હાલત બસો ફૂલ, કાર ભાડાનો ફટકો !
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ પરીક્ષા માટે કચ્છને કેન્દ્ર ફાળવવાનો ઇનકાર કરાતાં હજારો પરીક્ષાર્થીઓને લાંબી મુસાફરી કરવાની ફરજ તો પડી જ છે, પરંતુ હવે ટ્રાન્સપોર્ટેશનના અભાવે આર્થિક ફટકો પડશે.કચ્છના મોટાભાગના પરીક્ષાર્થીઓ માટે અમદાવાદ પરીક્ષા કેન્દ્ર હોવાથી ટિકિટ મેળવવા માટે દોડધામ થઈ છે. પરીક્ષાની તારીખ 21 ડિસેમ્બર છે અને બુકીંગ શરૂ થતા અમદાવાદ જતી તમામ સરકારી અને ખાનગી ટ્રાવેલ્સ બસો સંપૂર્ણપણે ફૂલ થઈ છે.લાંબી મુસાફરી કરવા છતાં સમયસર કેન્દ્ર પર પહોંચી શકાય તે માટે ટિકિટ મેળવવી મુશ્કેલ બની છે. ટિકિટ ન મળવાને કારણે અનેક પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓને ઊંચા ભાડે ખાનગી કાર બુકિંગ કરાવવાની ફરજ પડી છે. ઉમેદવારો પર મુસાફરીનો બોજ વધવાની સાથે આર્થિક બોજ પણ બમણો થઈ ગયો છે. શિક્ષણ વિભાગના સંવેદનહીન નિર્ણયનો સીધો આર્થિક બોજ હજારો ઉમેદવારોના ખિસ્સા પર પડ્યો છે. જે પૈસા ઉમેદવારો તૈયારી માટે ખર્ચવા માંગતા હતા, તે હવે લાંબી મુસાફરી અને ટ્રાન્સપોર્ટેશન પાછળ ખર્ચાઈ રહ્યા છે.આ નિર્ણયે ઉમેદવારોના મનમાં તંત્ર પ્રત્યે વધુ આક્રોશ પેદા કર્યો છે.
સ્થાનિક કોર્ટનો ચૂકાદો:1991ના વનવાસી કલ્યાણ આશ્રમ હુમલામાં બાકી આરોપી પણ નિર્દોષ
પાલઘર જિલ્લામાં 1991ના વનવાસી કલ્યાણ આશ્રમ પર હુમલો અને લૂંટના કેસમાં બચેલા એક આરોપીને પણ સ્થાનિક કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો છે. 14 ઓગસ્ટ, 1991ના રોજ તલાસરી ખાતે આશ્રમ પર 150 જણનાં ટોળાંએ પથ્થરો અને લાકડીથી હુમલો કર્યો હતો, જેમાં આશ્રમના મેનેજર મહાદેવ જયરામ જોશીને ગંભીર ઈજા પહોંચી હતી. એક રિક્ષા સહિત આશ્રમની મિલકતને ભારે નુકસાન થયું હતું. 26 નવેમ્બરે ચુકાદો અપાયો હતો, જેની વિગતે હવે ઉપલબ્ધ થઈ છે. એડિશનલ સેશન્સ જજ એ વી ચૌધરી ઈનામદારે સત્વ લાડક્યા ભગતને નિર્દોષ છોડી મૂક્યો છે. તેની વિરુદ્ધ હુલ્લડ, લૂંટ અને ચોરી, ગંભીર ઈજા પહોંચાડવી, આગચંપી અને અન્ય ગુના માટે ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મૂળ ચાર્જશીટ 32 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરાઈ હતી, જે સર્વને 7 જાન્યુઆરી, 2003ના નિર્દોષ છોડી મુકાયા હતા. ભગત અને અન્ય ત્રણ વિરુદ્ધ પછીથી ધરપકડ કરીને પૂરક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. અન્ય ત્રણના ખટલા દરમિયાન મૃત્યુ થયાં હતાં.કોર્ટે જણાવ્યું કે ફરિયાદ પક્ષ ગુનામાં ભગતની પ્રત્યક્ષ સંડોવણીના વિશ્વસનીય પુરાવા રજૂ કરી શખ્યો નથી. મુખ્ય સાક્ષીદાર પથ્થરમારો કોણે કર્યો હતો તે ઓળખી શક્યો નથી અને કોઈ પણ આરોપીનું નામ જણાવી શક્યો નહોતો. ઈજાગ્રસ્ત સાક્ષીદાર જોશી અને એક નજરે જોનાર સાક્ષીદાર પણ ટોળામાં કોણ હતું તે ઓળખી શક્યા નહોતા, એમ કોર્ટે આદેશમાં જણાવ્યું છે. ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધ આરોપ સ્થાપિત કરવામાં સાવ નિષ્ફળ ગયા છે, એમ જજ ઈનામદારે આદેશમાં જણાવ્યું હતું.
સિદ્ધિ:કવિતા ચાંદે એન્ટાર્કટિકાનું સર્વોચ્ચ શિખર કર્યું
મુંબઈ સ્થિત 40 વર્ષીય કવિતા ચાંદે 14 ડિસેમ્બરે રાત્રે 8.30 વાગ્યે એન્ટાર્કટિકામાં સર્વોચ્ચ શિખર (માઉન્ટ વિન્સન (4892) સફળતાથી સર કર્યું છે. પ્રતિષ્ઠિત સેવન સમિટ્સ ચેલેન્જ પાર કરવાની દિશામાં આ કવિતાનું મહત્ત્વપૂર્ણ પગલું છે. તેણે યુરોપમાં સર્વોચ્ચ શિખર માઉન્ટ એલ્બ્રુસ અગાઉ સર કરી દીધંમ છે. કવિતા 3 ડિસેમ્બરે માઉન્ટ વિન્સન પર જવા માટે ભારતમાંથી નીકળી હતી. તે 4 ડિસેમ્બરે સાંજે ચિલીમાં પુંટા અરેનાસ પહોંચી હતી, જ્યાંથી 7 ડિસેમ્બરે બપોરે યુનિયન ગ્લેશશિયર ખાતે પહોંચી હતી. આ પછી વિન્સેન બેઝ કેમ્પ ખાતે પહોંચી હતી, જે આશરે 2100 મીટરની ઊંચાઈ પર છે. બેઝ કેમ્પ માટે યુનિયન ગ્લેશિયરથી આખરી એપ્રોચ નાના સ્કી- સુસજ્જ એરક્રાફ્ટમાં આશરે 40 મિનિટમાં પૂર્ણ કરાયું હતું, જે એન્ટાર્કટિકાનું સાહસ કેટલું પડકારજનક છે તે દર્શાવે છે.
લક્ષ્મીપુરા કરોડિયા રોડ પર ગટર લાઈનનું કામ કરતા શ્રમજીવી પર ભેખડ ધસી પડતા તેનું મોત થયું હતું. જ્યારે તેની સાથે જ કામ કરતો શ્રમજીવી પાઈપની નીચે જતો રહેતા બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ગટરનું કામ પાલિકાના ડ્રેનેજ વિભાગના કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને સોંપ્યું હતું, જે દરમિયાન આ ઘટના ઘટી હતી. આ અંગે જવાહરનગર પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી હતી. શનિવારે સાંજે લક્ષ્મીપુરા-કરોડીયા રોડ પર અનિઈચ્છનીય ઘટના સામે આવી હતી. લક્ષ્મીપુરા-કરોડિયા વિસ્તારના ચાર રસ્તા પર શનિવારે સાંજે ગટર લાઈનનું કામ ચાલી રહ્યું હતું. આ કામ દરમિયાન 2 શ્રમજીવીઓ 10 ફૂટ ઉંડા ખાડામાં ચેમ્બરનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા બન્ને શ્રજીવીઓએ તેમાંથી બચવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક શ્રમજીવી પાઈપની નીચે જતો રહ્યો હતો. જોકે બીજા શ્રમજીવી 31 વર્ષીય કાંતિભાઈ ચારેલ ઉપર ભેખડ ધસી પડતા તેઓ માટીની નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતા ત્યાં હાજર શ્રમજીવીઓ દ્વારા તાત્કાલિક માટી હટાવીને કાંતિભાઈને બહાર કાઢીને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. ખાડો ખોદતાં લાઇન લીકેજ થઈ, પાણીથી માટી ભીંજાઈલક્ષ્મીપુરા-કરોડિયા રોડ પર શનિવારે ગટરનું કામ ચાલી રહ્યું હતું. તે માટે 2x2.5 ફૂટનો 10 ફૂટ ઉંડો ખાડો ખોદ્યો હતો. આ કામગીરીમાં પાણીની 2 લાઇન લીકેજ થતાં શ્રમજીવી પાણીને કારણે માટી પોચી થઇ ધસે નહીં તે આશયથી રિપેરિંગ કરતા હતા. ત્યારે ભેખડ ધસી હતી. અહીં પહેલેથી જ પાણીનું સ્તર વધુ છે, લીકેજથી ભીનાશ વધી હતી.
વેપારી સાથે છેતરપિંડી:ખોદકામમાં દાગીના મળ્યા એવું કહી નકલી સોનું પધરાવી મલાડના વેપારીને છેતર્યો
ખોદકામ દરમિયાન સોનાના દાગીના મળ્યા છે, જે ઓછા ભાવે વેચવાને નામે મલાડના વેપારીને નકલી સોનાના દાગીના પધરાવીને 25 લાખ રૂપિયાની ઠગાઈ કરનારા પાંચ જણની પોલીસે ધરપકડ કરી છે. આરોપીમાં ગાંધીનગર કલોલના દંપતી અને ત્રણ વિરારના ઠગોનો સમાવેશ થાય છે. આરોપીઓમાં ગાંધીનગર કલોલની 50 વૈજનાથ સોસાયટીમાં રહેતા બાબુલાલ ભલારામ વાઘેલા (55), તેની પત્ની કોકુબાઈ (50), વિરાર કનેર ફાટા ખૈરીપાડામાં રહેતા મંગલારામ મનારામ વાઘરી (34), કેસારામ ભગતારામ વાઘરી (41) અને ભવરલાલ બાબુલાલ વાઘરી (48)નો સમાવેશ થાય છે. આ પાંચેય આરોપીઓએ અનેક રાજ્યમાં જઈને આ રીતે વેપારીઓને છેતર્યા છે, એમ મલાડના સિનિયર પીઆઈ દુષ્યંત ચવ્હાણે જણાવ્યું હતું. આ કેસના ફરિયાદી વેપારી દિનેશ મહેતા છે, જેઓ મલાડ પશ્ચિમમાં સોમવાર બજાર અંકુર બિલ્ડિંગમાં રહે છે અને નજીકમાં જ સદગુરુ નિવાસમાં દુકાન ધરાવે છે. 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર વચ્ચે આ ઘટના બની હતી. આરોપી બાબુલાલે મહેતા સાથે રાજસ્થાની ભાષામાં બોલીને ઓળખ વધારી હતી. તેમનો વિશ્વાસ સંપાદન કર્યા પછી એક દિવસ મહેતાને કહ્યું કે નાશિક ખાતે મંદિરની પાછળ ખોદકામ દરમિયાન સોનાના દાગીના મળી આવ્યા છે, જેનું વજન 900 ગ્રામ છે.આ દાગીના વેચવામાં અથવા મહેતાને પોતે ખરીદી કરવા માટે અનુરોધ કર્યો હતો. વિશ્વાસ વધુ પાક્કો કરવા પીળી ધાતુનો મણી નમૂનો તરીકે આપ્યો હતો. મહેતાએ તે તપાસ કરાવતાં અસલી સોનું હોવાનું જણાયું હતું. આથી તેમણે તુરંત આરોપી પાસેથી 900થી વધુ વજનના દાગીના ખરીદી કરીને સામે રૂ. 25 લાખ ચૂકવી દીધા હતા.આરોપીઓ પૈસા લઈને નીકળી ગયા પછી મહેતાએ સોની પાસે જઈને દાગીના તપાસાડાવ્યા હતા, જેમાં તે નકલી હોવાનું જણાયું હતું. આથી 5 ડિસેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ડ તપાસ કરીને ત્રણ દિવસમાં આસપાસના 100થી વધુ ખાનગી અને સરકારી ઓફિસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ રીતે આરોપીઓનું પગેરું મેળવાયુંતેમાં પાંચ જણને ઓળખી કાઢવામાં આવ્યા હતા. આ પચી બાબુલાલનો મોબાઈલ અને ઘટનાસ્થળે મળી આવેલા બે ડમ્પ ડેટા પ્રાપ્ત કરી ટેક્નિકલ તપાસને આધારે આરોપીઓને મોબાઈલ નંબર મેળવવામાં આવ્યા હતા. તે નંબરનું સીડીઆર વિશ્લેષણ કરતાં બે ગાંધીનગર અને બે વિરાર ફાટા ખાતે હોવાનું જણાયું હતું. આને આધઆરે પછી આરોપીઓને કબજામાં લેવાયા હતા. તેમની ઊલટતપાસ કરીને રૂ. 15.45 લાખની રોકડ, મોબાઈલ જપ્ત કરાયા હતા. આરોપીઓને રિમાંડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ રીતે તેમણે અનેક રાજ્યમાં ઠગાઈ કરી હોવાનું જણાયું છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ ચવ્હાણે જણાવ્યું હતું. એપીઆઈ અભિજિત કાળે, દીપક રાયવાડે, સ્ટાફમાં જયદીપ જુવાટકર, જોન જોન ફરનાન્ડીસ, મંદાર ગોંજારી, સુજય શેરે, સમાધાન વાઘ, વિક્રમ બાબર, આદિત્ય રાણે દ્વારા આ કાર્યવાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.
ચૂંટણીનું બ્યુગલ સોમવાર પછી વાગશે:12-15 જાન્યુ.એ મતદાન
નાગપુરમાં રાજ્ય વિધાનમંડળના શિયાળુ સત્રની રવિવારે પૂર્ણાહુતિ થઈ. વિવિધ મોરચે વિરોધી પક્ષ દ્વારા સત્તાધારીઓને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો. સત્તાધારીઓએ પણ મોટે ભાગે તેનો સચોટ જવાબ આપ્યો. હવે બધાનું ધ્યાન મહાપાલિકાની આગામી ચૂંટણીઓ પર છે, જેની તારીખ એક- બે દિવસમાં જાહેર થવાની શક્યતા છે. મુખ્ય મંત્રી સચિવાલયનાં સૂત્રો અનુસાર મંગળવારે રાજ્ય કેબિનેટની મિટિંગ યોજાવાની છે. આ બેઠક પછી તે જ દિવસે સાંજે અથવા બુધવારે રાજ્ય ચૂંટણી પંચ પત્રકાર પરિષદ લઈને ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી શકે છે. રાજ્યમાં 29માંથી 28 મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન 12થી 15 જાન્યુઆરી દરમિયાન લેવા માટે ચૂંટણી પંચ દ્વારા હિલચાલ ચાલી રહી છે.દરમિયાન આગામી મહાપાલિકા, જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી માટે ઉમેદવારોને તેમના નોમિનેશન પત્ર (ઉમેદવારી અરજી) ઓફફલાઈન પદ્ધતિથી ભરવાની પરવાનગી અપાશે, એમ રાજ્ય ચૂંટણી પંચ દિનેશ વાઘમારેએ જણાવ્યું હતું. ઉમેદવાર અને રાજકીય પક્ષોની વિનંતી પરથી આ પૂર્વે નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણી માટે પણ ઓફફલાઈન અરજી ભરલાવી છૂટ આપવામાં આવી હતી. મહાયુતિ મુંબઈ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે મુંબઈ મહાપાલિકાની ચૂંટણી 25 ડિસેમ્બર આસપાસ જિલ્લા પરિષદની તારીખો સાથે ઘોષિત કરવામાં આવી શકે એવી પણ ચર્ચા છે.
અકોટામાં શનિવારે રાત્રે દારૂ પીધેલો કાર ચાલક મોપેડ સવાર 4 સભ્યોના પરિવારને અડફેટે લઇ ભાગી છૂટ્યો હતો. જેને પગલે મોપેડ ચાલક યુવકે દારૂ પીધેલા કાર ચાલકનો દોઢ કિ.મી પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. શહેરમાં એક બાદ એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. બુધવારે રાત્રે પણ કમલા નગર ચાર રસ્તા નજીક એક દારૂ પીધેલા કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે શનિવારે રાત્રે ફરી આ પ્રકારની ઘટના સામે આવી હતી. ગોત્રી ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા નિલ્પેશ ચૌહાણ પોતાના 2 બાળકો અને પત્ની સાથે મોપેડ લઈને અકોટા યોગ સર્કલ તરફથી જઈ રહ્યા હતા. ત્યારે એક કાર ચાલકે પાછળથી તેઓને ટક્કર મારીને ત્યાંથી કાર પુરપાટ ભગાવી મુકી હતી. નિલ્પેશભાઈના મોપેડનું સંતુલન બગડતા પરિવાર રોડ પર પટકાયો હતો. કાર ચાલક ઘટના સ્થળે ઉભો ન રહેતા નિલ્પેશભાઈએ તે કારનો દોઢ કિલોમીટર બીના નગર સુધી પીછો કરી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર આવીને ટિન્કુ સિંઘની અટકાયત કરીને તેની સામે ફરિયાદ નોંધી હતી. કાર ચાલક મૂળ ઉત્તર પ્રદેશનો છે અને તે વડોદરામાં ડ્રાઈવિંગનું કામ કરે છે. શનિવારે તે વૃદ્ધ દંપતીને લઈને હોસ્પિટલ લઈ જવા માટે નિકળ્યો હતો. પોલીસ જવાને કાર્યવાહી ન કરતાં મેં પીછો કર્યોમારી સાથે મારો પરિવાર હતો. ત્યારે જ મારા મોપેડને તે કાર ચાલકે ટક્કર મારીને ત્યાંથી જતો રહ્યો હતો. યોગ સર્કલ પાસે પોલીસ ઊભી હતી, પણ તેઓએ તે કારને ઊભી ન રાખી એટલે મેં 50ની સ્પીડે મોપેડ ચલાવીને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો > નિલ્પેશ ચૌહાણ, મોપેડ ચાલક
પોષ દશમીની ભવ્ય ઉજવણી થઈ:ભાયંદર-ભટેવામાં પોષ દશમીની આરાધનાની થઈ ભવ્ય ઉજવણી
ભટેવા પાર્શ્વનાથ જૈન સંઘ ભાયંદરમાં પોષ દસમી - શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ-દીક્ષા કલ્યાણકની ઉજવણી તપસ્વીરત્ન પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજપુણ્ય વિજયજી મહારાજની પાવન નિશ્રામાં ભવ્ય રીતે ચાલી રહી છે. ધારણા કરતા ઘણી વિશાળ સંખ્યામાં અઠ્ઠમની આરાધના થઈ છે. ગઈકાલે જન્મ કલ્યાણકની ઉજવણી ભવ્ય રીતે સંપન્ન થઈ, તો વળી આજે દીક્ષા કલ્યાણકની ઉજવણી પણ સુંદર રીતે સંઘના ખૂબ જ ઉત્સાહ સાથે સંપન્ન થશે. બંને ટાઈમ પૂજ્યશ્રીના પ્રવચનો ચાલી રહ્યા છે. જેમાં યુવાવર્ગ વિશેષથી જોડાયો છે. પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજસુંદર વિજયજી મહારાજે પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે ઘોર ઉપસર્ગો કર્યા, પ્રભુ ચલિત ના થયા તો અંતિમ ઉપસર્ગ તરીકે આકાશમાંથી એટલું બધું પાણી વરસાવ્યું કે જાણે કોઈ પણ રીતે પ્રભુને યમશરણ કરવા. આવા ઘોર ઉપસર્ગો થયા હોવા છતા પ્રભુને કમઠ ઉપર અંશ દ્વેષ ના થયો. કોઈ આપણને એક લાફો મારે કે બે કડવા શબ્દો બોલે તો આપણાંથી સહન થતું નથી. તો વળી ધરણેન્દ્ર દેવે આવીને પ્રભુની ખૂબ ભક્તિ કરી તો પ્રભુને તેનાં પ્રત્યે રાગ ના થયો. કોઈ આપણી પ્રશંસા કરે, અથવા કોઈ આપણને અનુકૂળ થાય, તો આપણને સારું લાગે. આ મનનો સ્વભાવ છે કે જે દ્વેષ કરે તેનાંથી દુ:ખ થાય, અને જે રાગ કરે - સ્નેહ કરે તેનાંથી સુખ થાય, તે વ્યક્તિ ગમવા લાગે, તો પ્રભુની સાધના કરતા કરતા પ્રભુના આવા ગુણોને આપણે આપણાં જીવનમાં લાવવાની ભાવના રાખવી જોઈએ. કમઠે પાર્શ્વનાથ પ્રભુનું ભયંકર વેર રાખ્યું તો તે વેર ભવોભવ સુધી સાથે ચાલ્યું, આપણાં મનમાં કોઈ પ્રત્યે વેર હોય તો તત્કાળ તેનું વિસર્જન કરીએ. ક્રોધ એટલે બપોરનાં ભોજનમાં બનાવેલું શાક અને વેર એટલે અથાણું. બપોરનું શાક કોઈ સાંજે ભોજનમાં લેતું નથી, પણ અથાણું તો પૂરા વર્ષ સુધી ચાલે છે. કોઈ સાથે ઝઘડો થયો, અને આવેશભાવ પ્રગટ થાય તો તે ક્રોધ છે, પણ તેને વર્ષો સુધી રાખીએ તો તે વેરમાં રૂપાંતરિત થાય છે. ક્રોધ પાપનો બંધ કરાવે છે, જ્યારે વેર પાપોનો અનુબંધ કરાવે છે. પાર્શ્વ પ્રભુની ઉપાસના કરતા આપણે ક્રોધ અને વેરથી શીઘ્ર મુક્ત થઈએ.
ગોત્રીના ખાનગી કંપનીના મેનેજરને ટ્રેડિંગ તથા આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને ગઠિયાઓએ રૂ.1.79 કરોડ પડાવી લીધા હતા. કેસમાં સંડોવાયેલા અમદાવાદના આરોપીને જેલ હવાલે કરાયો હતો. જ્યારે અત્રેની કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. ગોત્રી નવધા-2 રેસીડેન્સી ખાતે રહેતા ઘનશ્યામભાઈ મગનભાઈ આદરોજા ખાનગી કંપનીના મેનેજર છે. તેમને સાયબર માફિયાએ સોશિયલ મીડિયા ગ્રુપમાં એડ કર્યા હતા. ત્યારબાદ ઓનલાઇન ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ગઠિયાઓએ એસબીઆઈ સિક્યુરિટીઝ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લી.ના ખોટા દસ્તાવેજો બનાવી ઘનશ્યામભાઈને મોકલ્યા હતા. ત્યારબાદ અલગ અલગ બેંક એકાઉન્ટ મોકલી 4 એપ્લિકેશનમાં રોકાણ કરાવ્યું હતું. તેમને કુલ રૂ.1.81 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે ભેજાબાજે ફક્ત રૂ.2.22 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના રૂ.1.79 કરોડ ન આપી છેતરપિંડી કરી હતી. ઘનશ્યામભાઈને 10 ટકા વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. ત્યારે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ મામલે છેતરપિંડીમાં સંડોવાયેલા અમદાવાદ એલીસબ્રિજ ખાતે રહેતા વિવેક કનૈયાલાલ યાદવની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. ત્યારે વિવેકે જેલમાંથી બહાર આવવા અત્રેની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવી હતી.
330 રસ્તાઓનું કામ પૂર્ણ થયા:ઉત્તર મુંબઈના 330 જેજેટલા રસ્તાઓનું કોંક્રિંટીકરણ પૂરું
મહાપાલિકા પ્રશાસને હાથમાં લીધેલા કોંક્રિટીકરણ પ્રકલ્પ અંતર્ગત ઉત્તર મુંબઈમાં અત્યાર સુધી 73 ટકાથી વધારે એટલે કે 330 રસ્તાઓના કામ પૂરા થયા છે. દરમિયાન બાકીના રસ્તાઓના કોંક્રિટીકરણના કામ મહાપાલિકાએ 1 ઓક્ટોબરથી શરૂ કર્યા છે અને ડિસેમ્બરના અંત સુધી કામ પૂરા થવાની શક્યતા છે. તેથી મલાડ, બોરીવલી, કાંદિવલી, દહિસર વગેરે ભાગના નાગરિકોનો પ્રવાસ ટૂંક સમયમાં રાહતભર્યો થશે. મુંબઈગરાઓનો પ્રવાસ સહેલો થાય એ માટે મહાપાલિકાએ રસ્તા કોંક્રિટીકરણ પ્રકલ્પ હાથમાં લીધો છે. ચોમાસામાં રસ્તાઓના કામ બંધ કરવામાં આવ્યા હતા. એ પછી હવે ફરીથી કોંક્રિટીકરણના કામ શરૂ કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2025થી અનેક ઠેકાણે થર્મોપ્લાસ્ટિક માર્કિંગના કામ શરૂ કરવામાં આવ્યા છે. એ સાથે જ ઉત્તર મુંબઈના અધુરા રહેલા 119 રસ્તાઓના કોંક્રિટીકરણના કામ મહાપાલિકાએ શરૂ કર્યા છે. ડિસેમ્બર અંત સુધી કામ પૂરા કરવાનું નિયોજન છે. ઉપરાંત બીજા નવા 19 રસ્તાઓના કામ પણ શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી મુંબઈના બોરીવલી પશ્ચિમ ખાતે લિન્ક રોડ, માર્વે રોડને સમાંતર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી શંકર લેનના મુખ્ય મિસિંગ લિન્કનું કામ પૂરું થયું છે. સંબંધિત રોડ પરના અતિક્રમણ હટાવીને પ્રશાસને રસ્તાઓના કામ પૂરા કર્યા. બોરીવલી પશ્ચિમ ખાતેના સુમેરનગરનો મુખ્ય રસ્તો પણ પૂરો થવાથી નાગરિકોને ઘણી રાહત મળી છે.
અમારા ભાયલીનો વિકાસ ના થયો હોય તો તેમાં વિઝન વિનાના આયાતી નેતાઓ આવ્યાં છે. જેઓ અશાંતધારા નામે વોટ લઇ ગયા હવે એક માત્ર રિબિનો કાપવા આવે છે, બીજાને તો છેલ્લે ક્યારે આવ્યા તેની જાણ નહીં હોય. બાકી 95 હજાર વેરાબિલ અને ટેક્સના 150 કરોડ ઉઘરાવ્યા બાદ પણ પાલિકા 15 કરોડના કામ નથી કરતી. જે રૂપિયા વપરાય છે તે રાજ્ય સરકારના છે, આ બોલાયેલા શબ્દો નથી. ખખડધજ રસ્તા, ગ્રીન નેટ વિનાની કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને દોડતા વાહનોથી પ્રદૂષણ સહેતા અને રાત્રે સ્ટ્રીટ લાઇટ વિના અંધારા ઊલેચતા ભાયલીવાસીઓનો દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત ફોકસ ગ્રૂપ ડિસ્કશનમાં ભાયલીના રહીશોએ ઉઘાડી પાડેલી ભાયલીની સચ્ચાઇ છે. ગામમાં સમસ્યાઓ પારાવાર છે, જે શહેરની ઓળખ આજે પણ ભાયલીના સામાન્ય માણસના સુખદ અહેસાસને અભડાવે છે. સ્થાનિક રહીશોએ બીજી સમસ્યાની વાત વિગતે કરી હતી. ભાયલી કઇ પોલીસ પાસે જાય - ગોત્રી, તાલુકા કે જેપી ?નવી બનતી ઇમારતોથી ભાયલી આગળ વિકસિતનું વિશેષણ મૂકાય છે. અહીં સંખ્યાબંધ સમૃદ્ધ લોકો રહેવા આવ્યા છે. જોકે લોકો માટે અહો વૈચિત્ર્યમ એ છે કે, કેટલોક વિસ્તાર ગોત્રી પોલીસ સ્ટેશનમાં, થોડોક જેપીમાં અને તાલુકા પોલીસનો ‘અમલ’ પણ ક્યાંક ખરો. જ્યારે પાસપોર્ટ માટે ભાયલીના રહીશને પ્રયાસ કરવાનો થાય ત્યારે તે પોલીસ સ્ટેશનોમાં ધક્કા ખાય છે. ગુનો બને ત્યારે પણ પોલીસના હદના વિવાદનો અનુભવ લોકો કરે છે. ભાયલીમાં માત્ર એક બગીચો છે, જેથી તાજી હવા ખાવા લોકો પાસે વિકલ્પ નથી. કારણ રસ્તે ધૂળ ઊડતી હોય છે. ઠેર ઠેર કચરાના ઢગલા હોય છે. બગીચો વધારવાની જરૂર છે. ઝૂંપડપટ્ટીની પણ સમસ્યા છે. > દર્પણ પટેલ, ભાયલી ગામ ભાયલી વર્ષોથી સ્ટ્રીટ લાઇટ વિના અંધારાં ઊલેચે છે. એક સ્થળે ગાર્ડનની લાઇટ આખી રાત ચાલુ રાખવાની માગ છે, કારણ સ્ટ્રીટ લાઇટ નથી. નેતા રિબિન કાપવા આવે છે. નેતા- અધિકારી પાસે વિકાસ બુદ્ધિ નથી. > દિપેન પરમાર, ન્યૂ માઉન્ટ વિલા ભાયલી કેનાલની બંને તરફ જગ્યા છે. આ રસ્તે વૃક્ષારોપણ કરવું જોઇએ. એવરેસ્ટ ડિગ્નિટી પાછળના ભાગમાં જાપાનિસ ગાર્ડન પાસેની તલાવડીમાં ગંદા પાણીનો બેરોકટોક નિકાલ કરવામાં આવે છે. જેથી આ વિસ્તારમાં મચ્છરો સહિતના જીવાતો જોવા મળે છે અને વાસ પણ આવે છે. > મિનાક્ષીબેન શાહ, એવરેસ્ટ ડિગ્નિટી કેનાલની બાજુ સહિતના 15થી 18 મીટરના રસ્તા પર ડમ્પરોની અવર-જવર હોય છે, જેથી રસ્તા તૂટી જાય છે. એમજીવીસીએલ-પાલિકાના સંકલનના અભાવે રસ્તા તૂટે છે. જે રિપેર ન થતાં રહીશોને હાલાકી થાય છે. > કલ્પેશ શેઠ, સ્પ્રિંગ રિટ્રીટ ભાયલીમાં બ્રિજની કામગીરીને પગલે મોડી રાત સુધી કામગીરીને લીધે ધ્વનિ પ્રદૂષણ થતાં લોકો હેરાન થાય છે. ભાયલી કેનાલથી પાદરા રોડ જ્યાં મળે છે ત્યાં રોડ સાંકડો હોવાથી વાહનચાલકો હેરાન થાય છે અને સાંજ પડે પ્રદૂષણ વધી જાય છે. આ બાબતે યોગ્ય સરવે કરવાની જરૂર છે. > મનહર શાહ, એવરેસ્ટ ડિગ્નિટી
મુંબઈના ઉપનગરીય ભાગમાં નાગરિકો અને પર્યટકો માટે નવો વિકલ્પ ઉપલબ્ધ કરી આપવા મુંબઈ મહાપાલિકા તરફથી મુલુંડ (પશ્ચિમ) પરિસરમાં નાહૂર ખાતે અત્યાધુનિક વિદેશી પક્ષી ઉદ્યાન (એક્ઝોટિક બર્ડ પાર્ક) ઊભું કરવામાં આવશે. આ ઉદ્યાનનું ભૂમિપૂજન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાપાલિકા સંચાલિત શ્રીમતી મનસાદેવી તુલસીરામ અગરવાલ જનરલ હોસ્પિટલની મુલુંડ (પશ્ચિમ)માં બાંધવામાં આવેલી નવી ઈમારતનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી, અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પૂર્વ ઉપનગરો) ડો. અવિનાશ ઢાકણેના માર્ગદર્શન હેઠળ આ બર્ડ પાર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. આ પ્રકલ્પમાં વિદેશી પક્ષીઓ માટે સુવિધાયુક્ત પક્ષીગૃહ સાથે ટિકિટબારી, સાર્વજનિક સ્વચ્છતાગૃહ, મોમેન્ટો દુકાન, કેફે અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ જેવી અદ્યતન સુવિધા વિકસિત કરવામાં આવશે. આ બર્ડ પાર્કના લીધે નાગરિકોમાં પશુપક્ષીઓ અને પર્યાવરણ સંબંધિત જનજાગૃતિ વધવામાં મદદ થશે અને મહાપાલિકાના મહેસૂલમાં પણ ઉમેરો થશે એમ ઉપાયુક્ત (ઉદ્યાન) અજિતકુમાર આંબીએ જણાવ્યું હતું. આ પક્ષી ઉદ્યાનની રચના ભાયખલાના રાણીબાગ પ્રમાણે કરવામાં આવશે. ઉદ્યાનમાં 24 સ્વતંત્ર અધિવાસ (હેબિટેટ) પ્રસ્તાવિત છે. વિશ્વના દુર્લભ અને રંગબેરંગી પક્ષીઓ અહીં જોવા મળશે. ઓસ્ટ્રેલિયન, આફ્રિકન, અમેરિકા જેવા વૈશ્વિક વિભાગની સંકલ્પના અમલમાં મૂકવામાં આવશે. પક્ષીઓ માટે વિવિધ સુવિધાઓપક્ષીઓ માટે સ્વતંત્ર હોસ્પિટલ, ક્વોરન્ટાઈન એરિયા, બર્ડ કિચન અને ઈંટરનલ સર્વિસ રોડ સહિત વેટરનરી અને દેખભાળ પાયાભૂત સુવિધા પણ પ્રસ્તાવિત છે. આ બર્ડ પાર્કનો જૈવવિવિધતા અને પક્ષી સંવર્ધન બાબતે જનજાગૃતિ કરતા શાશ્વત પર્યાવરણ શૈક્ષણિક કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવશે. એ સાથે જ ફિલ્મ અને ફોટોગ્રાફી, જાહેરાત, કોર્પોરેટ સ્પોનસરશીપ, પક્ષી અને બાગ દત્તક યોજના, મોમેન્ટો દુકાન, રેસ્ટોરંટ ભાડે આપવી જેવા વિવિધ માધ્યમથી મહેસૂલ મેળવવાની યોજના અમલમાં મૂકવામાં આવશે એમ સંચાલક (પ્રાણીસંગ્રહાલય) ડો. સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું.
પરેલ ખાતેની કેઈએમ હોસ્પિટલમાં નૂતનીકરણ કરવામાં આવેલા બર્ન કેર સેંટરનું લોકાર્પણ શૈલેષ લીમડીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રમાં દાઝેલા દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ થશે. મહત્વની વાત એટલે મહિલાઓ અને બાળકો સહિત હવે પુરુષ દર્દીઓને પણ સારવાર ઉપલબ્ધ થશે. વર્ષેદહાડે 150 થી 170 દર્દીઓ પર સારવાર કરવાની આ કેન્દ્રની ક્ષમતા છે.દાઝેલા દર્દીઓને તરત અને સમયસર યોગ્ય સારવાર આપવાની દષ્ટિએ અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરી આપવાનો નિર્દેશ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ આપ્યો હતો. આવા દર્દીઓને થતું ઈન્ફેક્શનનું જોખમ ટાળવા યોગ્ય ઉપાયયોજના કરવાની સૂચના અતિરિક્ત મહાપાલિકા આયુક્તે (પશ્ચિમ ઉપનગરો) આપી હતી. વિવિધ સરકારી યોજનાના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સારવાર આપવાનો આ કેન્દ્રનો ઉદ્દેશ છે એમ ઉપાયુક્ત (સાર્વજનિક આરોગ્ય) શરદ ઉઘડેએ જણાવ્યું હતું. નૂતનીકરણ કરવામાં આવેલા બર્ન કેર સેંટરમાં કુલ 12 બેડ તમામ સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે. આ કેન્દ્રમાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ એવા આઈસીયુનો સમાવેશ છે. એમાં વેન્ટિલેટર, મલ્ટિપેરામીટર, મોનિટર જેવી અદ્યતન સેવાનો સમાવેશ છે. તેમ જ ડાયાલિસિસ મશીન પણ છે. આ અદ્યતન ઉપકરણોના લીધે દાઝેલા દર્દીઓની સારવાર દરમિયાન નિર્માણ થતા કોમ્પ્લીકેશન્સ પર વધુ અસરકારક સારવાર કરવી શક્ય થશે. આખા વોર્ડમાં અદ્યતન ફર્નિચર અને લાઈટ્સની વ્યવસ્થા છે. દાઝેલા દર્દીનું ધ્યાન એની પીડામાંથી વિચલિત કરવા ટીવી રાખવામાં આવ્યું છે. દર્દીઓને થતા ઈન્ફેક્શનનું જોખમ ટાળવા વિભાગમાં પ્રવેશ નિયંત્રિત રાખવામાં આવ્યો છે. તેથી દર્દીઓને લઈ જવા અને લઈ આવવા સહેલુ થશે એવી માહિતી કેઈએમ હોસ્પિટલના ડીન ડો. સંગીતા રાવતે આપી હતી. કેઈએમ હોસ્પિટલનો આ મહત્વનો પ્રકલ્પ છે. દાઝેલા દર્દીઓની અદ્યતન સારવાર માટે નિયમિતપણે પાયાભૂત સુવિધાઓનો વિકાસ કરવો અને દર્દીઓને રાહત આપવા પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેંટ કટીબદ્ધ છે. સુરક્ષિત વાતાવરણનું નિર્માણદાઝેલા દર્દીઓને થતા જખમ દરેક વ્યક્તિના જીવન પર તબીબી દષ્ટિએ ભાવનાત્મક અને સામાજિક દષ્ટિએ આઘાત કરતી બાબત હોય છે. આવા દર્દીઓને સારવાર સાથે આધાર અને નવી આશા આપવાની મહત્વની જવાબદારી બર્ન કેર સેંટરની છે. દર્દીઓની સારવાર માટે સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરવા સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવાની કેન્દ્રની મહત્વની જવાબદારી છે. દર્દીઓ માટે અતિશય કાર્યક્ષમ, સુરક્ષિત અને માનવીય દષ્ટિકોણથી સેવા આપવા અમારી ટીમ કટીબદ્ધ છે એમ વિભાગપ્રમુખ ડો. વિનીતા પુરીએ જણાવ્યું હતું.
સિટી એન્કર:88 લાખ દ્રષ્ટિહીનોને કમ્પ્યુટર સાક્ષર બનાવવા પ્રયત્ન જરૂરીઃ બલસારા
અંધેરી પશ્ચિમ ખાતે રવિવારે તાન્યા કમ્પ્યુટર સેન્ટરનો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓનો ૧૪ મો દીક્ષાંત સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોલતાં સંસ્થાપક તાન્યા બલસારાએ કહ્યું કે તેઓ સ્વયં દ્રષ્ટિહીન છે અને તેમણે વ્યક્તિગત રીતે 300 દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાક્ષર બનાવી જાહેર ક્ષેત્રમાં નોકરી મેળવવા સક્ષમ બનાવ્યા છે. ભારતના 88 લાખ દ્રષ્ટિહીન લોકો સુધી આ સંદેશ પહોંચાડવા અપીલ કરતાં તેમણે કહ્યું, “મને તમારા સહયોગની જરૂર છે, કારણ કે કમ્પ્યુટર સાક્ષરતા જેટલી સક્ષમ બનાવતી, સશક્ત કરતી અને મુક્તિ આપતી બીજી કોઈ બાબત નથી. કમ્પ્યુટર સાક્ષર બની જાઓ, તો તમે દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ જેટલા જ સક્રિય બની શકો છો. આજના કમ્પ્યુટરોને કારણે આ શક્ય બન્યું છે.” 14મા દીક્ષાંત સમારંભના અવસરે તેમણે ઉપસ્થિત તમામ લોકોને ઓછામાં ઓછા એક યુવા દ્રષ્ટિહીન વ્યક્તિને કમ્પ્યુટર શિક્ષણ સાથે પરિચિત કરાવવાની વિનંતી કરી. કમ્પ્યુટર સાક્ષરતાથી તેમના પોતાના જીવનમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતના તમામ 88 લાખ દૃષ્ટિહીન નાગરિકો કમ્પ્યુટર સાક્ષર બનેઆ જ તેમનું સ્વપ્ન છે. મુખ્ય અતિથિનો પરિચય કરાવતા લારા બલસારા વજીફદારે કહ્યું, “દ્રષ્ટિહીનને માત્ર મૂળભૂત શિક્ષણ આપવાના દિવસો હવે પૂરા થઈ ગયા છે. દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે અનેક નવા ક્ષેત્રોમાં વિશેષ શિક્ષણની તકો ઉપલબ્ધ છે. આજના મુખ્ય અતિથિ પ્રીથમ સુન્કવલી તેનું ઉત્તમ ઉદાહરણ છે, જેમણે દેશની સૌથી પ્રતિષ્ઠિત ભારતીય વ્યવસ્થાપન સંસ્થા—આઈઆઈએમ અમદાવાદ માંથી વ્યવસ્થાપનમાં સ્નાતકોત્તર ડિગ્રી મેળવવાનો દુર્લભ સન્માન પ્રાપ્ત કર્યું છે. દ્રષ્ટિની ગંભીર અછતને પોતાના લક્ષ્યો વચ્ચે અવરોધ બનવા ન દેતા તેમણે જે પ્રેરણાદાયક યાત્રા કરી છે, તે ખરેખર પ્રશંસનીય છે. મને આશા છે કે અમારા વિદ્યાર્થીઓ તેમની યાત્રાથી પ્રેરણા લઈ તેમની સફળતાનો ઓછામાં ઓછો થોડો અંશ તો જરૂર હાંસલ કરશે. હવે હું તેમને વિનંતી કરું છું કે તેઓ પોતાની યાત્રા અને માર્ગમાં આવેલા અવરોધો વિશે જાતે જણાવે.” દ્રષ્ટિહીનો માટે લાભદાયક પગલુંમેડિસન વર્લ્ડના ચેરમેન સેમ બલસારાએ કહ્યું, “તાન્યા કમ્પ્યુટર સાક્ષર બન્યા પછી તેમાં આવેલા બદલાવ અને તેમના વિદ્યાર્થીઓમાં દેખાતા પરિવર્તનને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ થયો છે કે દ્રષ્ટિહીનો માટે આ સૌથી વધુ મુક્તિ આપતું અને લાભદાયક પગલું છે, જે કોઈપણ વ્યક્તિ અથવા સરકાર લઈ શકે છે.”
મુંબઈને ઝૂંપડપટ્ટીમુક્ત કરવા ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણે ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અમલમાં મૂકવા છતાં મુંબઈમાં નવા ઝૂંપડાં વધી રહ્યા છે. અતિક્રમણ, નવા ઝૂંપડાંઓને રોકવા એસઆરએએ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નેત્રમ (નેટવર્ક ફોર એન્ક્રોચમેન્ટ ટ્રેકિંગ એન્ડ રિપોર્ટિંગ ફોર મુંબઈ) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલના માધ્યમથી અત્યાધુનિક પદ્ધતિથી અતિક્રમણ પર નજર રાખવામાં આવશે અને અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નેત્રમ પોર્ટલ ગુજરાતના ગાંધીનગરની ટેકનિકલ સંસ્થા ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જિયોઈન્ફોર્મેટિક્સ (બીઆઈએસએજી-એન)ની મદદથી વિકસિત કરવામાં આવ્યું છે. આ પોર્ટલના પરીક્ષણ દરમિયાન 2011થી 2025 દરમિયાન મુંબઈમાં મોટી સંખ્યામાં અતિક્રમણ વધ્યું હોવાનું જણાયું છે. પોર્ટલના પરીક્ષણનો અંદાજ છે છતાં મુંબઈની ચિંતા વધારનારો છે. આ સમયમાં મુંબઈમાં તમામ વોર્ડમાં અતિક્રમણ વધ્યા છે. મલાડ, માલવણીમાં સૌથી વધારે અતિક્રમણ વધ્યા છે. 2011થી 2025 દરમિયાન માલવણીમાં 6 હેકટર કરતા વધુ જમીન અતિક્રમણથી વ્યાપેલી છે. એસઆરએની ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના પછી મુંબઈમાં ઝૂંપડાંઓની સંખ્યા ઓછી થવાના બદલે વધી જ રહી છે. તેથી એસઆરએસના મુખ્ય કાર્યકારી અધિકારી મહેન્દ્ર કલ્યાણકરે નવેસરથી ઊભા થતા અનધિકૃત ઝૂંપડાં, અતિક્રમણ રોકવા શું કરી શકાય એનો વિચાર કર્યો અને પછી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ અનુસાર નવા અતિક્રમણ શોધવા તેમ જ નવેસરથી અતિક્રમણ ન થાય એના પર નજર રાખવા બીઆઈએસએજી-એન સંસ્થાની મદદથી નેત્રમ પોર્ટલ વિકસિત કરવામાં આવ્યું. નેત્રમ પોર્ટલની ચકાસણી એસઆરએના મુખ્યાલયના વિશેષ કક્ષમાં થઈ રહી છે. આ પરીક્ષણ દરમિયાન 2000, 2011, 2017 અને 2025 દરમિયાનના મુંબઈના તમામ વોર્ડના સેટેલાઈટ ફોટો મેળવીને એની સરખામણી, તપાસ અભ્યાસ કરવામાં આવ્યો. આ પરીક્ષણમાં 2011થી 2025ના સમયગાળામાં મુંબઈમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થયાનો અંદાજ મળ્યાની માહિતી એસઆરએના વરિષ્ઠ અધિકારીઓએ આપી. મુંબઈના તમામ વોર્ડમાં અતિક્રમણ, ઝૂંપડાં વધ્યા છે. એમાં પણ માલવણી, પહાડી ગોરેગાવ, દેવનાર, માનખુર્દ, કુર્લા, મિઠાગરની જગ્યા જેવા ઠેકાણે સૌથી વધારે અતિક્રમણ થયાનું જણાયું છે માલવણીમાં સૌથી વધુ અતિક્રમણક :માલવણીમાં સૌથી વધારે અંદાજે 6.14 હેકટર જમીન પર અતિક્રમણ થયું છે. પહાડી ગોરેગાવમાં અંદાજે એક હેકટરથી વધુ જમીન પર, આકુર્લી ખાતે અંદાજે 5.98 હેકટર જમીન, દેવનાર ખાતે અંદાજે 3.1 હેકટર જમીન પર અતિક્રમણ થયાનું જણાયું છે. મહત્વની વાત એટલે વધુમાં વધુ ઠેકાણે ખાડી પર માટી નાખીને અતિક્રમણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં સેટેલાઈટ ફોટો : મુંબઈમાં વધતું અતિક્રમણ ચિંતાની બાબત છે અને અતિક્રમણ રોકવાનો પડકાર તમામ સરકારી પ્રાધિકરણો સમક્ષ છે. દરમિયાન નેત્રમ પોર્ટલ ટૂંક સમયમાં અધિકૃત રીતે શરૂ કરવામાં આવશે. જાન્યુઆરી 2026માં મુંબઈના સેટેલાઈટ ફોટો લેવામાં આવશે. જૂન-જુલાઈ 2026માં ફરી નવેસરથી સેટેલાઈટ ફોટો લઈને એનો તુલનાત્મક અભ્યાસ કરીને નવા અતિક્રમણ શોધી કાઢવામાં આવશે. સક્ષમ પ્રાધિકરણની મદદથી આવા અતિક્રમણ પર કાર્યવાહી કરવામાં આવશે. નેત્રમના લીધે અનધિકૃત બાંધકામ, અતિક્રમણ પર અંકુશ આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
મ.સ. યુનિવર્સિટીની 14 ફેકલ્ટીઓમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ કરવા માટે પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જોકે સંખ્યાબંધ ફેકલ્ટીઓમાં સત્તાધીશોને ઇન્ટર્નશિપ માટે વડોદરામાં કંપનીઓ મળી રહી નથી. જેની સામે સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ગુજરાત બહાર ઇન્ટર્નશિપ કરવા ગયા છે. સાયન્સ ફેકલ્ટીના 4 વિભાગોના 11 વિદ્યાર્થીઓ રાજ્ય બહાર તથા 75 વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઇન્ટર્નશિપ કરવા માટે ફેકલ્ટી દ્વારા મોકલવામાં આવ્યા છે. જિયોલોજીમાં તો માત્ર 5 વિદ્યાર્થીઓેને વડોદરામાં ઇન્ટર્નશિપ મળી છે, જ્યારે 25ને શહેર બહાર જવાનો વારો આવ્યો છે. મ.સ. યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીઓમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઇન્ટર્નશિપની પ્રક્રિયા ચાલી રહી છે. જેની સામે સાયન્સ ફેકલ્ટીના બોટની, જિયોલોજી, માઇક્રો બાયોલોજી, ઝૂઓલોજી જેવા 4 વિભાગના 234 જેટલા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરવા માટે મોકલવામાં આવ્યા છે. સાયન્સ ફેકલ્ટીમાં 13 વિભાગો આવેલા છે, જેમાંથી અત્યારે માત્ર 4 વિભાગો દ્વારા જ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપની પ્રક્રિયા કરાવાઈ રહી છે. બાકીના વિભાગો દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ઇન્ટર્નશિપ કરવામાં આવનાર છે. જે વિદ્યાર્થીઓ ગુજરાત બહાર ઇન્ટર્નશિપ કરવા ગયા છે, તેમાં પૂના, બેંગ્લોર, મુંબઇ સહિતનાં શહેરમાં તેમને ઇન્ટર્નશિપની ઓફર મળી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડોદરા સિવાય ગુજરાતમાં છોટાઉદેપુર, અમદાવાદ, સૌરાષ્ટ્રમાં 75 જેટલા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરવા માટે મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ખાનગી કંપની, સરકારી-અર્ધસરકારી કચેરીઓ તથા એનજીઓમાં ઇન્ટર્નશિપ કરવા માટેની તક મળી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સાયન્સ ફેકલ્ટીના 4 વિભાગોના તમામ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે કંપનીઓ મળી ગઇ છે, જેથી આ વિદ્યાર્થીઓને તેમની 4 ક્રેડિટ મેળવવામાં કોઇ સમસ્યા ઊભી નહિ થાય. જો કે અન્ય વિદ્યાર્થીઓને ઉભી થનારી સમસ્યાનું હલ પણ ત્વરિત કાઢવું જરૂરી બનશે. આર્ટ્સમાં ઇન્ટર્નશિપ ફેકલ્ટીમાં જ કરાઇયુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં વિરોધભાસ જોવા મળી રહ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ ફેકલ્ટીમાં કરવાનો વારો આવ્યો છે ત્યારે સાયન્સ વિદ્યાર્થી ગુજરાતભરમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. ફેકલ્ટી સત્તાધીશોના પ્રયાસોના પગલે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપની તક મળી રહી છે ત્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં અધ્યાપકોએ જવાબદારી લેવા તૈયાર નથી.
ભાસ્કર ઈનસાઈડ:પાણી પુરવઠાનો ઇજારો 3 માસ લંબાવવા માટે રૂા.35 લાખ વધારાના ચૂકવવા પડશે
શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણી પુરવઠાએ કર્મચારીઓ માટે ઇજારો લંબાવવા દરખાસ્ત કરી છે. 1 વર્ષથી ચાલતો ઇજારો પૂરો થતાં 1.40 કરોડનો ઇજારો 3 મહિના લંબાવવા 35 લાખ વધારાના ચૂકવવા પડશે. પાણી પુરવઠા વિભાગ પાસે અપૂરતા ઓપરેટર અને મજૂર-સ્ટાફને કારણે કોન્ટ્રાક્ટ પર ગાડું ગબડાવાય છે. પાણી પુરવઠા વિભાગ પાસે અપૂરતા ઓપરેટર અને મજૂર-સ્ટાફ હોવા સાથે આવનાર સમયમાં આ કામગીરી સાથે સંકળાયેલા કાયમી કર્મી વય નિવૃત્ત થનાર હોઈ ઇજારાથી માનવદિન દ્વારા ઓપરેટર તથા મજૂરો લેવાની જરૂર છે. પાણી પુરવઠા શાખાના પશ્ચિમ ઝોન માટે 1.40 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઈજારાથી ઓપરેટર તથા મજૂર લેવાના કામની મુદત 21 ડિસેમ્બરે પૂર્ણ થાય છે. જેથી પશ્ચિમ ઝોન માટે મંજૂર વાર્ષિક ઈજારાની મર્યાદામાં વધુ 35 લાખનો વધારો કરી 1.75 કરોડ ક૨વા અને વાર્ષિક ઈજારાની મુદત વધુ 3 માસ લંબાવવાની દરખાસ્ત સ્થાયી સમક્ષ રજૂ કરાઈ છે. કોન્ટ્રાક્ટ પર લેવાતા ઓપરેટર તાલીમ બાદ પણ ભૂલો કરે છેપાણી પુરવઠા શાખા દ્વારા ઓપરેટર તથા અન્ય સ્ટાફ માટે કોન્ટ્રાકટ આપવામાં આવે છે ત્યારે આ કર્મચારીને કોઇ પણ પ્રકારની જવાબદારી હોતી નથી. દર વખતે નવા કર્મચારીઓને ટ્રેનીંગ આપવાનો વારો આવે છે અને તેમ છતાં પણ ભૂલો થાય ત્યારે અધિકારીઓ સામે પગલા લેવાઇ છે. શહેરમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે મોટાભાગે કોન્ટ્રાકટમા કર્મચારીઓના માધ્યમથી જ કામગીરી કરાઈ રહીછે. ઇનસાઇડ
હાલાકી યથાવત્:દિલ્હી-વડોદરા-દિલ્હીની 2 ફ્લાઇટ રદ
ઇન્ડિગોની રવિવારે વધુ એકવાર દિલ્હી-વડોદરા-દિલ્હીની 2 ફ્લાઇટ્સ કેન્સલ થઇ હતી. આ ફ્લાઇટ સતત 6 દિવસથી કેન્સલ થતાં મુસાફરો પણ હવે અનિવાર્ય હોય તો જ આ ફ્લાઇટના બુકિંગ માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે જે મુસાફરોએ બુકિંગ કરાવ્યાં હતાં તેમણે દિલ્હીથી આવતી ફ્લાઇટની રાહ જોવાનો વારો આવ્યો નહોતો, કારણ કે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા વહેલી સવારે દિલ્હીની આ બંને ફ્લાઇટ ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવી છે અને આજે તે ઓપરેટ થશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ ફ્લાઇટ દિલ્હીથી સાંજે 4.15 કલાકે ટેક ઓફ કરીને વડોદરા એરપોર્ટ ખાતે આવે છે. ત્યારબાદ વડોદરાથી દિલ્હી માટે ઉડાન ભરે છે. જોકે દિલ્હીથી આવતી જ ફ્લાઇટ કેન્સલ થતાં વડોદરા-દિલ્હી ફ્લાઇટ પણ કેન્સલ થઇ હતી. જેને પગલે 2-4 દિવસ અગાઉથી દિલ્હીની ફ્લાઇટ માટે આગોતરુ બુકિંગ કરાવી ચૂકેલા મુસાફરોને હેરાન થવાનો વારો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડિગોએ આ સ્થિતિ સોમવાર સુધી યથાવત્ રહેશે તેવી આગોતરી જાહેરાત પણ મુસાફરો માટે કરી ચૂક્યું છે. આગામી એકાદ દિવસમાં પરિસ્થિતિ સામાન્ય બને તેવી શક્યતા છે.
એક વર્ષથી બંધ ફતેગંજ મેઇન રોડનું કામ પૂરું થયું હોવા છતાં ખુલ્લો ન મૂકાતાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ફતેગંજ મેઇન રોડને શરૂ ન કરાતાં આખરે લોકોએ જાતે ઉદઘાટન સમારોહ યોજ્યો હતો. જેને પગલે પોલીસ દોડતી થઈ હતી અને 4ની અટકાયત કરી હતી, જ્યારે પાલિકાએ સમિયાણો જપ્ત કર્યો હતો. શહેરમાં વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર માઇક્રો ટનલિંગ સહિતની કામગીરી કરાય છે. દરમિયાન ફતેગંજના મુખ્ય માર્ગ પર 1 વર્ષ કરતાં વધુ સમયથી કામ ચાલી રહ્યું હતું. જોકે કામ પૂરું થયું હોવા છતાં રસ્તો ખુલ્લો કરાઈ રહ્યો નથી. જેથી રવિવારે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. ફતેગંજ નાગરિક સમિતિના રોનક પરીખ સહિતના આગેવાનોએ ફતેગંજ બ્રિજ નીચે સમિયાણો બાંધી મહારાજને બોલાવી વિધિવત રીતે રોડના ઉદઘાટનનું આયોજન કર્યું હતું. જોકે પોલીસ અને પાલિકાએ કાર્યક્રમ અટકાવી રોનક પરીખ સહિત 4ની અટક કરી હતી. જ્યારે સમિયાણો જપ્ત કર્યો હતો. ચૂંટણીમાં લાભ ખાટવા ઉદઘાટન ટાળવામાં આવી રહ્યું છેપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે ફતેગંજ મુખ્ય રોડનું ઉદઘાટન અટકી ગયું છે. પાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે. જેથી અત્યારથી રસ્તો શરૂ કરી દેવાય ચૂંટણીમાં લાભ ખાટી ન શકાય. જેથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાના 15 દિવસ પહેલાં જ ઉદઘાટન કરવાનું આયોજન કરાઇ રહ્યું હોવાથી રસ્તો ખુલ્લો મૂકવામાં આવી રહ્યો નથી.
ઉત્તર ભારતમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થયા છે. જેને કારણે હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા શરૂ થઈ રહી છે. આ હિમવર્ષા બાદ વાદળો દૂર થતાં ઉત્તરના પવનો મેદાની વિસ્તારોમાં થઈ ફૂંકાતાં વડોદરામાં 25 ડિસેમ્બર સુધીમાં ઠંડીની તીવ્રતા વધશે. શહેરમાં રવિવારે મહત્તમ પારો 32.4 ડિગ્રી અને લઘુતમ પારો 12.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજ સવારે 80 ટકા અને સાંજે 49 ટકા નોંધાયો હતો. જ્યારે નોર્થ-વેસ્ટની દિશાથી 3 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. ઉલ્લેખનિય છે કે, 3 દિવસ લઘુતમ પારામાં મોટા ફેરફારની શક્યતા નથી. ત્યારબાદના 4 દિવસ પારો 2થી 3 ડિગ્રી જેટલો વધશે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં સૂર્યનાં ત્રાંસાં કિરણ ઠંડી વધારશેડિસેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન સૂર્ય દક્ષિણાયાનમાં પ્રવેશ કરશે.સૂર્ય દક્ષિણ તરફ વધુ ઢળેલો રહેશે એટલે સૂર્યના પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના પ્રદેશો પર આવતાં ત્રાંસાં કિરણો પણ ઠંડીમાં વધારો કરશે. જેથી નાતાલના દિવસો દરમિયાન રાત અને વહેલી સવારના સમયે ઠંડી રહી શકે છે.
રહીશનો બચાવ:સમામાં ઘરના બાથરૂમમાં ધડાકા સાથે ગીઝર ફાટ્યું
સમાના ચાણક્યપુરી વિસ્તારના એક ફ્લેટના બાથરૂમમાં એક વ્યક્તિ નાહી રહ્યા હતા ત્યારે ધડાકા સાથે ગીઝર ફાટતાં આગ ફેલાઇ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં વ્યક્તિનો બચાવ થયો હતો. ઘટનાની જાણ કરાતાં ફાયરબ્રિગેડે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમાના ચાણક્યપુરી વિસ્તારમાં રાંદલધામ મંદિર પાસે શિવાલિક-3માં લાભ ટાવર છે. આ ટાવરના એક ફ્લેટમાં રવિવારે સવારે 6 વાગ્યાના સુમારે ફ્લેટ માલિક સ્નાન કરી રહ્યા હતા. તે સમયે ઇલેક્ટ્રિક ગીઝર ફાટ્યું હતું અને આગ લાગી ગઇ હતી. પરિવારના જણાવ્યા મુજબ આ ઇલેક્ટ્રિક ગીઝરને એક બાથરૂમમાં રાખ્યું હતુ અને બીજા બાથરૂમમાં તેની પાઇપ લંબાવી હતી. જેમાં પરિવારના સભ્ય નાહતા હતા, તેમાં ગીઝર ન હોવાથી તેમનો બચાવ થયો હતો. તજ્જ્ઞોના જણાવ્યા મુજબ કોઇલ વધુ ગરમ થાય કે થર્મોસ્ટેટ બગડે કે પ્રેશર રિલીફ વાલ્વ બગડતાં આવી દુર્ઘટના થઇ શકે છે. વીજ કનેક્શન સાથે ઘરમાં MCB કે RCCB સ્વિચ હોવી જ જોઇએવીજકંપનીના નિયમ મુજબ વીજ કનેક્શન સાથે મનીએચર સર્કિટ બ્રેકર (એમસીબી) સ્વિચ કે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર (આરસીસીબી) પૈકી એક હોવી જરૂરી છે. લોકો આ બાબતની અવગણના કરે છે. જ્યારે આવી ઘટના બને ત્યારે સર્કિટ બ્રેકર સ્વિચ આપમેળે પડી જતાં વીજ પુરવઠો ખોરવાઇ જાય છે અને વધુ નુકસાન થતું અટકી જાય છે. MCB સ્વિચ રૂા.200ની અને RCCB સ્વિચ રૂા.2500ની આસપાસ થાય છે.
બોટાદમાં રત્ન કલાકાર યુવતીની છેડતી બાબતે સમજાવવા ગયેલ યુવતીના માતા પિતા તથા તેના કાકા, કાકી સાથે આરોપીઓએ ઝઘડો કરી માર મારી યુવતીના કાકા પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા યુવતીએ પાંચ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી આદર્શ અવારનવાર યુવતીની મશ્કરી અને છેડતી કરતો હતો, જે અંગે યુવતી અને તેની માતાએ તેને ઘણીવાર સમજાવ્યો હતો. ગત તા. 10 ડિસેમ્બરના રોજ, યુવતી અને તેની માતા કારખાને જવા નીકળ્યા ત્યારે આદર્શે ફરી ઇશારો કરી છેડતી કરી હતી. આ બાબતે યુવતીના માતાએ આરોપીના માતા-પિતાને વાત કરી હતી. ત્યાર બાદ, સાંજે આરોપીની દાદી રમીલાબેને યુવતીના પરિવારને રાત્રે આશરે દસેક વાગ્યે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. યુવતીના માતા-પિતા, કાકા-કાકી અને ફઈ સમજાવટ માટે આદર્શના ઘરે ગયા, પરંતુ વાત વણસી. આરોપીની માતા રેખાબેન અને દાદી રમીલાબેને યુવતીના માતા અને કાકી સાથે ઝપાઝપી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. યુવતીના પિતા અને કાકા તેમને છોડાવવા વચ્ચે પડતા જ, આરોપી આદર્શભાઈ જગદીશભાઈ મકવાણા અને તેના પિતા જગદીશભાઈ મકવાણા બહાર આવ્યા. આદર્શે તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી યુવતીના કાકા પ્રતિકભાઈને છાતીના ભાગે મારી દીધી. બીજા ઘાથી બચાવવા અન્ય કાકા વનરાજભાઈએ આદર્શનો હાથ પકડી લેતા છરી નીચે પડી ગઈ હતી. આદર્શ, તેના પિતા જગદીશભાઈ, માતા રેખાબેન, દાદા ભુરાભાઈ અને દાદી રમીલાબેન સહિત પાંચેયે ભેગા મળીને યુવતીના પરિવારને માર માર્યો અને આજે એકેયને જીવતા જવા દેવા નથી કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ પ્રતિકભાઈને તાત્કાલિક બોટાદની સબીહા હોસ્પિટલ લઈ જવાયા, જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર અને ત્યારબાદ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મ.સ. યુનિ.ના કેમિસ્ટ્રી વિભાગના અધ્યાપકોની ટીમે અનોખું સંશોધન કર્યું હતું. તેમણે બ્રિજ, બિલ્ડિંગ, ટાવર જેવી જગ્યા પર કાટ લાગતો રોકવા મકાઈ, બટાકા, સાબુદાણાથી કાટ પ્રતિરોધક દ્રાવણ બનાવ્યું છે. આ સંશોધનને અમેરિકન કેમિકલ સોસાયટી આંતરરાષ્ટ્રીય જર્નલના કવર પેજ પર સ્થાન મળ્યું છે. વિશ્વભરમાં કાટ એક ગંભીર સમસ્યા છે, જેને કારણે પુલો, ઇમારતો, પાઇપ-લાઇન, વાહનો, ઔદ્યોગિક મશીનો અને વિવિધ ધાતુમય ઢાંચાને મોટું નુકસાન પહોંચે છે. આધુનિક જીવનમાં ધાતુ પર વધતી નિર્ભરતાથી આ સમસ્યાનું નિવારણ રિસર્ચનો વિષય છે. કાટ માત્ર ઢાંચાની સ્થિરતા અને સુરક્ષાને અસર કરતો નથી, પણ ઉદ્યોગ તથા સામાજિક વિકાસ પર પણ વિપરીત અસર કરે છે. આ પડકારને ધ્યાનમાં રાખી મ.સ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીનાં પ્રો.સોનલ ઠાકોરે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. તેમણે મકાઈ, બટાકા અને સાબુદાણા જેવા કુદરતી અને સરળતાથી ઉપલબ્ધ કૃષિ સ્ત્રોતોમાંથી મેળવેલા બાયો-મોલેક્યુલ્સનો ઉપયોગ કરી પર્યાવરણલક્ષી, સુરક્ષિત અને અસરકારક કાટ-પ્રતિરોધક સામગ્રી વિકસાવી છે. આ સામગ્રી ધાતુની સપાટી પર સ્થિર રક્ષાત્મક પડ બનાવે છે, જે કાટની પ્રક્રિયા અટકાવે છે. જ્યારે પરંપરાગત કાટ અવરોધકો ઘણીવાર ઝેરી, પ્રદૂષણકારી અને ખર્ચાળ હોય છે. પ્રો.સોનલ ઠાકોરે જણાવ્યું કે, આ નવીન શોધ ઓટોમોબાઇલ, પાઇપ-લાઇન, મકાન નિર્માણ, દરિયાઈ સાધનો, ઔદ્યોગિક મશીનો તેમજ ઘરેલુ ધાતુ ઉત્પાદનોમાં ઉપયોગ માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે. દેશની અગ્રણી સંસ્થાઓ વચ્ચેના સહયોગથી સંશોધન કરાયુંદેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના વૈજ્ઞાનિક સંશોધનથી રસાયણ વિભાગનાં પ્રો. સોનલ ઠાકોર તથા તેમના સંશોધક વિદ્યાર્થીઓ મિરાજ પટેલ અને કૃતિકા પટેલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી હૈદરાબાદ સાથે મળી કાટ-પ્રતિરોધક ટેક્નોલોજી ક્ષેત્રમાં સંશોધન રજૂ કર્યું છે. અભ્યાસનું સંશોધન પેપર વિખ્યાત અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા પ્રકાશિત આંતરરાષ્ટ્રીય જર્નલ એપ્લાઇડ એન્જિનિયરિંગ મટિરિયલ્સમાં સ્વીકારાયું છે. જર્નલના કવર પેજ પર સંશોધનને સ્થાન મળ્યું છે. અમેરિકન કેમિકલ સોસાયટી સંશોધન માટે પ્લેટફોર્મ આપે છેયુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત અમેરિકન કેમિકલ સોસાયટી વિશ્વની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થામાંની એક છે. સંસ્થા ઉચ્ચ કક્ષાના પિયર-રિવ્યૂડ જર્નલ્સ પ્રકાશિત કરે છે. વૈશ્વિક સ્તરે હજારો વૈજ્ઞાનિકોને સંશોધન માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે અને કેમિકલ સાયન્સ ક્ષેત્રના વિકાસ માટે યોગદાન આપે છે.
મુખ્ય આરોગ્ય અધિ કારી દ્વારા અનુરોધ કરાયો:બોટાદમાં ઈન એક્ટિવ થયેલા આયુષ્યમાન કાર્ડ રીન્યુ કરાશે
રાજ્ય સરકાર દ્વારા પીએમ જેએવાય “માં વાત્સલ્ય” યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 4 લાખ કે તેથી ઓછી આવક ધરાવતાં મધ્ય મ વર્ગના પરિવારો, રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતા સિનિયર સિટીઝન કુટુંબો તેમજ સામાજિક રીતે વંચિત વર્ગોના લાભાર્થી ઓને આપવામાં આવતાં આયુષ્માન કાર્ડ માટે આવકનાં દાખલા 31 માર્ચ 2025 પહેલાં અપલોડ કરવાના જે સમય મર્યાદા હતી, તે પૂર્ણ થતાં હવે અનેક કાર્ડ ઈનએક્ટિવ કરવામાં આવ્યાં છે. ઈનએક્ટિવ થયેલાં તમામ આયુષ્માન કાર્ડને ફરીથી એક્ટિવ કરાવવા માટે લાભાર્થીએ યોજના હેઠળ જોડાયેલી નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી રહેશે. રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન કાર્ડધારકની હાલની પીએમજેએવાય આઈ-ડી બદલાશે નહીં; માત્ર નવા આવકના દાખલાની વિગતો સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે. બોટાદ જિલ્લાનાં તમામ લાભાર્થીઓએ વહેલી તકે નજીકની એમ્પેનલ હોસ્પિટલમાં જઈને આવશ્યક દસ્તા વેજો ખાસ કરીને નવો આવક નો દાખલો સબમિટ કરી પોતાનાં આયુષ્માન કાર્ડનું રિન્યુઅલ કરાવી લેવા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કાર્યવાહી:પાટણમાં સગીરા સાથે સાવકા પિતાએ નવ મહિના સુધી દુષ્કર્મ આચર્યું
પાટણ શહેરમાં સગીરા સાથે સાવકા પિતાએ નવ માસ દરમિયાન બળજબરી પૂર્વક દુષ્કર્મ કરી શોષણ કર્યું હોવાની ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. પાટણ શહેરમાં 15 વર્ષની સગીરા સાથે તેનાં ઘરે તેના પાલક પિતાએ 20 માર્ચથી 12 ડિસેમ્બર 2025 સુધી નવ માસ દરમિયાન અવાર નવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ આ બાબતે સગીરાની માતાને શક પડતાં તેમણે દીકરીને પૂછતાં દીકરીએ સમગ્ર હકીકત જણાવી હતી. સગીરાની માતાએ તેનાં પતિ સામે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે આ અંગેની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીરાની મેડિકલ તપાસ માટેની કાર્યવાહી ચાલી રહી છે.અને આરોપીની શોધખોળ ચાલી રહી છે.
જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતેના ઓરલ મેડીસીન અને રેડીયોલોજી વિભાગ દ્વારા વિશ્વ રેડિયોલોજી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણી ઈ.સ. 1895માં 8 નવેમ્બરના રોજ વિલ્હેમ રોન્ટજન નામના વૈજ્ઞાનિક દ્વારા ક્ષ-કિરણોની શોધની યાદમાં કરવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય હેતુ એક્સ-રેના મેડિકલ ક્ષેત્રમાં અતિ મહત્વના યોગદાન અને તેના લાભ-ગેરલાભ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. જેના ભાગરૂપે વિભાગમાં આવેલ દર્દીઓ તથા સગા-સબંધીઓને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઓરલસ્કેન નામના આધુનિક મશીન વડે પાન-મસાલાનું વ્યસન ધરાવતા દર્દીઓની તપાસ કરી, તેમને મોઢાની અંદર કેન્સરની શક્યતા અંગે યોગ્ય માહિતી તથા સારવાર આપવામાં આવી હતી. તબીબી જ્ઞાનના ભાગરૂપે, ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટરોને CBCT અંગેનું વ્યાખ્યાન અને પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કેન્સરના નિષ્ણાત તબીબો (Oncologists) દ્વારા ઓરલ કેન્સરના અધ્યતન નિદાન અને સારવાર અંગેના વિશેષ વ્યાખ્યાનો પણ યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના ડીન ડો. નયનાબેન પટેલના નેતૃત્વ અને વિભાગના વડા ડો. રીટાબેન ઝાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ઈન્ડીયન ડેન્ટલ એસોસિએશન જામનગર શાખા તથા શાશ્વત હોસ્પિટલ્સે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના ડોક્ટરો ડો. ઓશીન વર્મા, ડો. કાજલ શીલુ, ડો. અભિષેક નિમાવત, ડો. શૌમેંદુ મૈતી, ડો. નિધિ હિરાણી તથા ડો. ફોઝિયા પઠાણે તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદે ખનન, વહન, અને સંગ્રહ કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીઓને LCB સાબરકાંઠાએ ઝડપી પાડ્યા હતા. હિંમતનગરના કાનડા અને પ્રાંતિજના બંને આરોપીઓ વોટસએપ ગૃપ બનાવી ખનીજ વાહનોની રેકી કરતા હોવાનું સામે આવ્યું હતું. સાબરકાંઠા એલસીબી પીઆઇ ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ, પીએસઆઇ કે.સી. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમને હ્યુમન સોર્સિંગ દ્વારા બાતમી આધારે આરોપી વિપુલસિંહ ડિકુસિંહ ઝાલા (21) રહે. કાનડા, નાનોવાસ, તા. હિંમતનગરને તેના ઘરેથી પકડી લેવાયો હતો. બીજો આરોપી આશિષભાઇ દીતાજી વણઝારા (46) રહે. પ્રાંતિજ હાઇવે, વણઝારાવાસ, તા. પ્રાંતિજને હિંમતનગર બસ સ્ટેન્ડમાંથી ઝડપી લેવાયો હતો. પકડાયેલ આરોપીઓ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા. આરોપીઓ પોતાની ખનીજ ચોરી પકડાઈ ન જાય તે માટે તેઓ વોટ્સએપ ગૃપ બનાવતા હતા અને ગૃપ દ્વારા તેઓ સરકારી કચેરીના વાહનો અથવા અધિકારી-કર્મચારીઓના ખાનગી વાહનોની રેકી કરતા હતા. તેઓ સરકારી અધિકારીઓના લોકેશનના મેસેજ વોટ્સએપ દ્વારા ગૃપમાં શેર કરીને ખનીજની ચોરી અંગેની સરકારી કામગીરીમાં વિક્ષેપ ઉભો કરતા હતા.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક સગીરાની છેડતી અને સતામણીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર સતત પરેશાન કરવા અને ત્યારબાદ સગીરાનો પીછો કરીને તેના પરિવારને માર મારવાના મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં બે યુવકો સામે POCSO એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. કેશોદના ગ્રામ્ય પંથકમાં રહેતી એક સગીરા છેલ્લા કેટલાક સમયથી બે યુવકોના નિશાને હતી. ફરિયાદની વિગતો મુજબ, આરોપી યુવકો સગીરાને સોશિયલ મીડિયા માધ્યમ પર સતત મેસેજ અને ચેટ કરીને પરેશાન કરતા હતા. આ સતામણી માત્ર ઓનલાઈન પૂરતી સીમિત ન રહેતા, આરોપીઓ સગીરાનો પીછો કરવા લાગ્યા હતા.વાત એટલી હદે વધી ગઈ કે આરોપી યુવકો સગીરાના ઘર સુધી પહોંચીને બારણું ખખડાવી હેરાનગતિ કરતા હતા. આરોપીઓના આ સતત ત્રાસ અને હેરાનગતિથી ભયભીત બનેલી સગીરાએ આખરે આ સમગ્ર વાત તેની માતાને જણાવી. સગીરાની માતાએ તાત્કાલિક આ ગંભીર ઘટનાની જાણ તેમના પતિ (સગીરાના પિતા)ને કરી હતી. ત્યારબાદ માતા-પિતા બંનેએ સાથે મળીને આરોપી યુવકોને તેમની હરકતો બદલ ઠપકો આપ્યો હતો..પરંતુ આરોપી યુવકોએ ઠપકાની વાત સાંભળવાને બદલે ઉશ્કેરાઈ ગયા હતા. ઠપકો આપવો જ પરિવાર માટે મોટો સંઘર્ષ બની ગયો. આરોપી યુવકોએ સગીરા તેમજ તેના માતા-પિતા સાથે ગાળા-ગાળી કરી હતી અને તેમને માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ ભોગ બનનાર સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનાને પગલે સગીરાની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં બંને યુવકો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે કેશોદના એસપી બી. સી ઠક્કરે જણાવ્યું હતું કે કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં સગીર વયની દીકરીની છેડતી મામલે માતાએ ફરિયાદ નોંધાવી છે.પોલીસે માતાની ફરિયાદના આધારે મેહુલ વેજાભાઈ માલમ અને તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુ નામના બંને યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે પોલીસે આ બંને યુવકો વિરુદ્ધ POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ સહિત જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.કેશોદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે સગીરાના મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં નહીં આવે. આરોપીઓને કડક સજા થાય તે માટે તમામ જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
સુરતની લાજપોર જેલમાં 14 ડિસેમ્બર રવિવારે એક કેદીના મોતની ઘટના સામે આવી છે. મૃતક કેદી સદામ હુસેન (ઉ.વ. 37)ને સવારે 11 વાગ્યા આસપાસ અચાનક છાતી અને ખભાના ભાગે અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. જેલના ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેને હાર્ટ એટેક આવ્યાની આશંકાએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ રીફર કરાયો હતો. જોકે, સિવિલ હોસ્પિટલમાં કેદીને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે દ્વારા કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ હાથ ધરાઈ છે. આરોપીએ 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતુંમૂળ નવસારીના ધારાગીરી વિસ્તારના મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી સામે વર્ષ 2021માં 12 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી તેમજ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાધી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતીજોકે, નવસારી કોર્ટમાં આ કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાનીના આધારે આરોપી સદામ હુસેનને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે 5 જૂન 2023ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 30 હજારના દંડની સજા ફટકારી હતી. આ ચુકાદા બાદ આરોપી સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો. જેલની કોટડીમાં સદામને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતોજોકે, 14 ડિસેમ્બર 2025 રવિવારના રોજ સવારે 11 વાગ્યા આસપાસ જેલની દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક સદામ હુસેનને છાતી અને ખભાના ભાગે અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. તેની હાલત જોઇ અન્ય કેદી અને જેલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. જેલમાં ફરજ પરના ડોક્ટર મનિષભાઈએ તાત્કાલિક તપાસ કરી કેદીને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા હોવાની આશંકા જણાતા તેને તાત્કાલિક રીફર કરવાનો નિર્ણય કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ કેદીનું મોતજેલ પ્રશાસને કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર પોલીસ ગાર્ડના કાફલા સાથે સદામને સુરત સિવિલ હોસ્પિટલ રવાના કર્યો હતો. જોકે, હોસ્પિટલના દરવાજે પહોંચતા જ તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી. બપોરે 12:15 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલના ડો. અંકિતભાઈએ તેને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. પોલીસે કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ હાથ ધરીસચિન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ. ગોહિલે આ મામલે જણાવ્યું હતું કે, આ એક કસ્ટોડિયલ ડેથ હોવાથી તેની ગંભીરતાથી તપાસ થઈ રહી છે. એસડીએમ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. જેલમાં તે કયા વોર્ડમાં હતો, તેની તબિયત અગાઉ ક્યારેય બગડી હતી કે કેમ અને તેની સાથે કોઈ ઝઘડો થયો હતો કે કેમ, તે તમામ પાસાઓ પર પોલીસ નજર રાખી રહી છે હાલમાં સદામ હુસેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે. મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
મહેસાણા નજીક આવેલ મોટીડાઉ નજીક ઉત્કર્ષ વિદ્યાલય ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના શિક્ષકે સોટી મારતા વિદ્યાર્થીને ઇજા થતાં તેણે પરિવારને જાણ કરી હતી. પિતાએ ત્યારબાદ પોતાના પુત્રને સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીઓ અંદરોઅંદર મજાક મસ્તી કરી રહ્યા હતામહેસાણા શહેરમાં એરોદ્રામ પાસે આવેલ એક સોસાયટીમાં રહેતા અને મોટી ડાઉ પાસે આવેલ ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ આઠમા અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓના દીકરાની શાળામાં ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ટેસ્ટ બાદ વિદ્યાર્થીઓ અંદરોઅંદર મજાક મસ્તી કરી રહ્યા હતા, એ દરમિયાન સ્કૂલના શિક્ષક નિલ પટેલ સાંભળી જતા વિદ્યાર્થી સ્કૂલમાં ગયો એ દરમિયાન વિદ્યાર્થીઓને ઉભા રાખ્યાં હતાં. શિક્ષકે વિદ્યાર્થીને ધમકાવી લાકડાની સોટી મારીત્યારબાદ વિદ્યાર્થીને ધમકાવી શિક્ષક નિલ પટેલે લાકડાની સોટી મારી સ્કૂલમાં બેસાડ્યો હતો. ત્યારબાદ સ્કૂલ છૂટી એ દરમિયાન તેણે શિક્ષકે ફરી સાથળના ભાગે સોટી મારતા તેણે ઇજા થઇ હતી. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીએ ઘરે જઇ પોતાની માતા અને પિતાને જાણ કરી હતી. વિદ્યાર્થીના પિતાએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવીત્યારબાદ દુખાવો થતા તેણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં શિક્ષક નિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વલસાડ સિટી પોલીસે 'મિશન મિલાપ' (Mission for Identifying Locating Absent Adolescents Persons) અંતર્ગત નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે કાલક વિસ્તારમાંથી ગુમ થયેલા ત્રણ કિશોરોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. આ ઘટના 13 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. પોલીસને 11 વર્ષીય કિશોર અને તેના બે મિત્રો ગુમ થયા હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, વલસાડ સિટી પોલીસના પી.આઇ. ડી.ડી. પરમારના નેતૃત્વમાં એક ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને તકનીકી તપાસનો ઉપયોગ કરીને ગુમ થયેલા કિશોરોને શોધી કાઢ્યા હતા. કિશોરોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા બાદ તેમને તેમના પરિવાર સાથે ફરીથી ભેગા કરવામાં આવ્યા હતા. આ કામગીરી બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી છે. વલસાડ સિટી પોલીસ ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ છે.
અમદાવાદમાં ગાંધીનગર હાઈવે પર આવેલી સાયક્લોન સોસાયટીના રહેવાસીઓ દ્વારા સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેરેથોનમાં સોસાયટીના તમામ રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા– અમદાવાદ યુનિટ અને ઈનોવેટીવ થોટ ફોરમ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે એક પ્રેરણાદાયી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને કોર્પોરેટ લીડર એસ. બી. દંગાયચે તેમના વિચારો રજૂ કર્યા હતા. તેમણે 'સફળ હોમિયોપેથિ પ્રેક્ટિસના સ્તંભો — ઉદ્યોગસાહસિક શિસ્ત, ડિજિટલ પ્રસાર તથા સમુદાય મૂલ્ય' વિષય પર વક્તવ્ય આપ્યું હતું.દંગાયચે સુલભ આયુષ આરોગ્યસેવા માટે 'સુવિદ હોમિયોપેથી કેન્દ્ર' બનાવવાનો નિર્ણય પણ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા હોમિયોપેથીક ડોક્ટર્સ, હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ, એસોસિએશનના સભ્યો અને આરોગ્યસેવા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો.આ સત્ર હોમિયોપેથીક સમુદાય માટે માહિતીપ્રદ અને પ્રેરણાદાયક રહ્યું હતું.
ગાંધીનગરના લીંબોદરા ખાતે રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ દ્વારા યુવાનો અને ખેડૂતો માટે એક વ્યાપાર વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેતીલક્ષી વ્યાપાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતપેદાશોનું માર્કેટિંગ, ખેતી અને ગાય આધારિત આર્થિક યોજનાઓ, વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોગ્રામ, કૌશલ્ય વિકાસ, ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો હતો. શિબિરમાં ખેત પેદાશોનું વધુમાં વધુ મૂલ્ય કેવી રીતે મેળવી શકાય, એગ્રી એક્સપોર્ટ માટેની માહિતી, પેકેજિંગ અને ફૂડ પ્રોસેસિંગ બિઝનેસ દ્વારા ખેતપેદાશોમાંથી વધુ નફો કમાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે માણસા, ગાંધીનગર, અમદાવાદ અને પેથાપુરના અનેક વ્યાપાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે યુવાનો અને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રતન સેવા ટ્રસ્ટ દ્વારા 1000થી વધુ ધાબળા વિતરણ:અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કચરિયાનું પણ વિતરણ કરાયું
રતન સેવા ટ્રસ્ટ (નરોડા) દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 1000થી વધુ ધાબળા અને કચરિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેવાકાર્ય 13 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હાથ ધરવામાં આવ્યું હતું. આ વિતરણ નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, C.T.M, નારોલ, મણીનગર, કાલુપુર, દરિયાપુર, સિવિલ, ગોતા, રીંગરોડ, સિંધુભવન રોડ, ઘાટલોડિયા, રાણીપ, નવરંગપુરા અને શાહપુર સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ સેવા કરવાનો છે.
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં મદદ કરનાર પતિ-પત્નીને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાંથી ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે મોરવા(હ) પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પંચમહાલ રેન્જના IGP આર.વી. અસારી અને પંચમહાલ SP ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના મુજબ, પેરોલ ફર્લો સ્કવોર્ડ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સક્રિય બની હતી. મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં BNS કલમ 87, 137(2), 54 અને પોક્સો એક્ટ કલમ 12 મુજબ અપહરણનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના તોયણી સુથાર ફળિયાના રહેવાસી કેશરસિંહ ઉર્ફે કિરણસિંહ ડામોર અને તેમની પત્ની સુમિત્રાબેન ડામોર ફરાર હતા. પો.સ.ઈ. બી.એમ. રાઠોડની આગેવાની હેઠળની પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે તપાસ કરી હતી. એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈએ ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓ જામનગરના કાલાવડમાં મજૂરી કામ કરતા હોવાની માહિતી મેળવી હતી. આ માહિતીના આધારે તેમને કાલાવડના ફગાસ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ગોધરા-દાહોદ હાઈવે પર કાર-બાઇકનો અકસ્માતગોધરા-દાહોદ હાઈવે પર પરવડી હનુમાનજી મંદિર નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાળા રંગની ટાટા નેક્સોન કારે બાઈકચાલકને પાછળથી ટક્કર મારતા યુવકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગોધરા તાલુકાના પૂર્વ ભામૈયા ગામના ટાંડા ફળિયાના રહેવાસી આતમભાઈ પ્રભાતભાઈ પટેલ તેમની બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં આતમભાઈના સંબંધી પ્રથમસિંહ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં આતમભાઈની મોટરસાયકલ અને ટક્કર મારનાર ટાટા નેક્સોન કાર જોવા મળી હતી. પ્રાથમિક તપાસ મુજબ, કારચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન ચલાવીને આ અકસ્માત સર્જ્યો હતો. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. માસૂમ મસ્જિદ બહાર પાર્ક કરેલી બાઈક ચોરાઇગોધરા શહેરમાં માસૂમ મસ્જિદ બહાર પાર્ક કરેલી બાઈકની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનચોર ઈસમે બાઈકનું સ્ટેરીંગ લોક તોડીને ઉઠાંતરી કરી હતી. આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગોધરા શહેરના હયાતની વાડી વિસ્તારમાં રહેતા ઇમરાન હુસૈન તોતલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 6 ડિસેમ્બરના રોજ રાત્રે સાડા સાત વાગ્યાના સુમારે તેમણે પોતાની બાઈક માસૂમ મસ્જિદ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટેરીંગ લોક કરીને પાર્ક કરી હતી. અડધા કલાક બાદ પરત ફરતા તેમને વાહન મળ્યું ન હતું. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈકનો પત્તો ન લાગતા, તેમણે 13 ડિસેમ્બરના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફેસ્ટિવલ કમિટીએ જરૂરિયાતમંદોને મદદ કરી:ગરમ કપડાં, પગરખાં અને રમકડાંનું વિતરણ કર્યું
આવલી ફેસ્ટિવલ કમિટી દ્વારા મોટેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદો માટે સામાજિક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. શિયાળાની શરૂઆત થતાં ગરમ કપડાં, પગરખાં અને રમકડાં જેવી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્ય સોસાયટીના નિવાસીઓના સહયોગથી શક્ય બન્યું હતું. કમિટી અને રહેવાસીઓએ સાથે મળીને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડી.વિતરણ કરાયેલી સામગ્રીમાં સ્વેટર, ટોપી અને પગરખાંનો સમાવેશ થાય છે, જે ઠંડીથી રક્ષણ પૂરું પાડે છે. નાના બાળકો માટે ખાસ રમકડાં પણ આપવામાં આવ્યા હતા.
BDSV કલા મહાકુંભમાં વિજેતા:ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિધાલય, પાટણની ટીમોએ ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ કલા મહાકુંભ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાની આહીર સમાજની વાડી ખાતે યોજાયો હતો, જેમાં દસ જિલ્લાના વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કલા મહાકુંભ 2025 અંતર્ગત આયોજિત શાળાઓ વચ્ચેની બેન્ડ સ્પર્ધામાં, 15 થી 20 વર્ષના વય જૂથમાં વિધાલયના 22 વિદ્યાર્થીઓએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત, સુગમ સંગીતમાં શાળાની વિદ્યાર્થીની વિધિશા મોદીએ દ્વિતીય સ્થાન મેળવી શાળા અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું. આ સ્પર્ધામાં રાજ્યભરની અનેક શાળાઓના બેન્ડોએ ભાગ લીધો હતો. બી ડી સાર્વજનિક વિધાલય, પાટણની બેન્ડ ટીમે તેમની શિસ્તબદ્ધ રજૂઆત, સંગીતની તાલબદ્ધતા અને મંચ પરના આત્મવિશ્વાસથી ન્યાયાધીશોને પ્રભાવિત કર્યા અને વિજેતા બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું. શાળાના પ્રિન્સિપાલ ડૉ. બળદેવભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ પરિણામ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને શાળાની સતત પ્રેરણાનું ફળ છે. બેન્ડના માર્ગદર્શક શિક્ષક એમ. એમ. હીરવાણીયાએ પણ વિદ્યાર્થીઓની સતત પ્રેક્ટિસ અને સમર્પણની પ્રશંસા કરી. આ વિજયથી શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી ફેલાઈ છે. શાળા પરિવાર અને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા પૂરી પાડવામાં આવેલી સંગીત શાળામાં તૈયાર થયા હતા. પાટણ જૈન મંડળ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે પાટણમાં સતત કાર્યરત છે.
વડોદરામાં 'કવિતાના આંગણે' કવિ સંમેલન યોજાયું:જયંતોર્મિ ટ્રસ્ટ અને સ્નેહલ પીસી ગ્રૂપ દ્વારા આયોજન
વડોદરામાં સાહિત્ય અને કલાની પરંપરા જાળવી રાખતા, 13મી ડિસેમ્બર 2025ના રોજ રેસકોર્સ સ્થિત વાસ્વિક ઓડિટોરિયમમાં 'કવિતાના આંગણે' શીર્ષક હેઠળ એક કવિ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ અને સ્નેહલ પીસી ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદના મુકુંદભાઈ દવે અને જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ મુખ્ય આયોજક હતા. જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં જાહેર જનતા માટે આ ૩૫મો નિઃશુલ્ક કાર્યક્રમ હતો, જે સાહિત્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાવ્યસભર સાંજને માણવા માટે ઓડિટોરિયમમાં ૧૦૦થી વધુ સાહિત્યરસિક પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના સુપ્રસિદ્ધ કવિ તેજસ દવેએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. લગભગ અઢી કલાક ચાલેલા આ સંમેલનમાં ભાવનગર, અમદાવાદ અને વડોદરાના નામી કવિઓએ શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. વડોદરાના જાણીતા એડવોકેટ જીતુભાઈ પંડ્યાએ પ્રથમ વખત મંચ પર પદાર્પણ કરી પોતાની કવિતાઓ રજૂ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. આ ઉપરાંત, વડોદરાના દિગ્ગજ કવિ દિનેશ ડોંગરે 'નાદાન', ટ્રસ્ટના પ્રમુખ હરીશ શાહ, અંકિત મહેતા અને ભાવનગરના જયેશ ભટ્ટે પોતાની ગઝલો અને રચનાઓથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું.સંમેલનમાં રજૂ થયેલી કેટલીક હૃદયસ્પર્શી પંક્તિઓ, જેણે શ્રોતાઓની સૌથી વધુ વાહવાહી મેળવી હતી, તે નીચે મુજબ છે: તેજસ દવે: વર્ષો પહેલાની છનછનને શોધે છે, એક હવેલી હજુંયે પાયલને શોધે છે. જીતુભાઇ પંડ્યા: નિર્દોષ છે એ બાળક પુરાવા એટલા, આંખોમાં ગંગાજળ ભરેલું વાંચ તું. હરીશ શાહ: વીલ કરતા વૃદ્ધની હાલત જુઓ, ત્યારથી તર્પણ સુધીનો વસવસો. દિનેશ ડોંગરે 'નાદાન': કંઈક ઈચ્છા દૂધ પીતી થાય છે, એ પછી એકાદ પૂરી થાય છે. અંકિત મહેતા: નજર પહોંચી ગઈ છે ત્યાં કદમ પહોંચી નથી શકતા, અરીસે બિંબ પહોંચે છે સ્વયમ પહોંચી નથી શકતા. જયેશ ભટ્ટ: ઢોલ વાગે છે ને ધમા ધમ ધમ? એવું પશુઓની ખાલ પૂછે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓ મંત્રમુગ્ધ બની કવિતાઓના પ્રવાહમાં વહેતા રહ્યા હતા. અંતમાં, આયોજકો અને કવિઓએ વડોદરાના સાહિત્યપ્રેમીઓનો આભાર માન્યો હતો, અને એક યાદગાર સાંજનું સમાપન થયું હતું.
સુરતના વેડ રોડ પર આવેલી અહિલ્યાબાઈ હોલકર કન્યા શાળા ક્રમાંક 185 ખાતે દિવ્ય ભાસ્કર અને શાળાના સંયુક્ત ઉપક્રમે વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થિનીઓમાં સેવા ભાવના, સંવેદનશીલતા અને મૂલ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સી.આર.સી. ધર્મેશભાઈ, એસ.એમ.સી. સભ્ય રાધિકા પાટિલ અને શુભ્રાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ સુનીલ નેહતેએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે વસ્ત્રદાનના સામાજિક અને નૈતિક મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણ અત્યંત આવશ્યક છે. કે.જી.થી ધોરણ 8 સુધીની વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાલીઓએ પણ આ પુણ્યકાર્યમાં સક્રિય સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અંદાજે 4 થી 5 હજાર જેટલા વસ્ત્રો એકત્રિત કરવામાં આવ્યા હતા, જે જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન વર્ષાબેન ગાયકવાડે કર્યું હતું. અંતે, ઉપસ્થિત તમામ મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજનથી વિદ્યાર્થિનીઓમાં સેવા ભાવના અને સામાજિક જવાબદારીની ભાવના જાગૃત થઈ હોવાનું જણાવાયું હતું.
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના બ્યુગલ વાગે તે પહેલા જ સુરત શહેર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. શનિવારે કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત કરવાના ઈરાદે 151 હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ નવી ટીમ સક્રિય થાય તે પહેલા જ વિખવાદની આગ ફાટી નીકળી છે. સંગઠનનું માળખું જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ પક્ષના જૂના જોગીઓએ નારાજગી વ્યક્ત કરી સંગઠનના હોદા પરથી ટપોટપ રાજીનામા ધરી દેતા રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે. 6 હોદેદારોએ સંગઠનમાંથી રાજીનામા ધરી દીધાનવા જાહેર થયેલા માળખા સામે અસંતોષ વ્યક્ત કરતા એક સાથે 6 જેટલા મુખ્ય હોદ્દેદારોએ મેદાન છોડ્યું છે. જેમાં ઉપપ્રમુખથી લઈને કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે. રાજીનામું આપનારા મુખ્ય હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે:સુરેશ સુહાગિયા (ઉપપ્રમુખ)દીપક પટેલ (મહામંત્રી)ઇમ્તિયાઝ શેખ (મહામંત્રી)અશ્વિન સાવલિયા (મંત્રી)કેસર અલી પીરઝાદા (કારોબારી સભ્ય)નાસિર સિમેન્ટવાળા (કારોબારી સભ્ય) નિલેશ કુંભાણીના 'અભિનંદન'થી હોબાળોસુરત કોંગ્રેસ માટે વધુ શરમજનક સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે લોકસભાની ચૂંટણીમાં પક્ષ સાથે ગદ્દારી કરનાર પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા. લોકસભામાં ફોર્મ ખેંચી લઈને ભાજપનો રસ્તો સાફ કરનાર અને પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા કુંભાણીએ નવનિયુક્ત હોદ્દેદારોને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ મુલાકાતના ફોટા વાયરલ થતા પક્ષના વફાદાર કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું આ નવું સંગઠન કુંભાણીના ઈશારે બન્યું છે? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌરરાજીનામું આપનાર પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય અને નવા વરાયેલા ઉપપ્રમુખ સુરેશ સુહાગિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સંગઠનમાં મારું નામ જાહેર કરતા પહેલા મારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. વળી, વ્યવસાયિક વ્યસ્તતાને કારણે હું પક્ષને પૂરતો સમય આપી શકું તેમ નથી. પદને ન્યાય ન આપી શકું તેના કરતા કોઈ અન્ય કાર્યકરને તક મળે તે હેતુથી મેં રાજીનામું આપ્યું છે. બીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ બચાવ કરતા કહ્યું હતું કે, તમામ નિયુક્તિઓ સભ્યો સાથે ચર્ચા કરીને અને તેમને વિશ્વાસમાં લીધા પછી જ કરવામાં આવી હતી. દરેકનું કન્ફર્મેશન લેવાયું હતું, પરંતુ હવે અચાનક કયા કારણોસર આ પગલું ભરવામાં આવ્યું છે તે તપાસનો વિષય છે. પાલિકાની ચૂંટણી પર અસરસુરત મહાનગરપાલિકાની ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસમાં આ પ્રકારની યાદવાસ્થળી પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. એક તરફ આમ આદમી પાર્ટી અને ભાજપ પોતાની વ્યૂહરચના ઘડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પોતાના જ આંતરિક અસંતોષને ડામવામાં નિષ્ફળ રહી હોય તેમ લાગે છે.151 સભ્યોની જંગી યાદીમાં જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જે આગામી દિવસોમાં વધુ રાજીનામામાં પરિણમી શકે છે. આ સમાચાર પણ વાંચોઃસુરત શહેર કોંગ્રેસનું જમ્બો સંગઠન જાહેર, 20 ઉપપ્રમુખ નિમાયાગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ વખતે અત્યંત વિશાળ અને જ્ઞાતિ આધારિત સંતુલન જાળવતું માળખું મેદાનમાં ઉતાર્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
લાયન્સ ક્લબ ઓફ બરોડા વિશ્વામિત્રી દ્વારા ફાઉન્ડેશન ડે અને ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સત્તાવાર મુલાકાત નિમિત્તે વિવિધ સામાજિક સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેવા કાર્યો અંતર્ગત, ભાયલીની પ્રગતિ સ્કૂલ ખાતે વોટર કુલર અને વોટર પ્યુરિફાયર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કપુરાઈ ગામમાં મફત મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ડાયાબિટીસ, દાંત અને બોન ડેન્સિટીની તપાસ કરવામાં આવી હતી.ક.મા. મુનશી શાળામાં બાળાઓને 'ગુડ ટચ બેડ ટચ' વિશે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા, પ્રમુખ લાયન મુકેશ દલાલ, સચિવ લાયન ધર્મેન્દ્ર પરમાર સહિત અન્ય લાયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો પોરબંદરમાં 'હવાઈ ગયો' શબ્દપ્રયોગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સાંસદ ખેલ મહાકુંભ મહોત્સવ-2025 દરમિયાન પોરબંદરના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ખાતેના તેમના સંબોધનનો છે. ભાષણ દરમિયાન, મનસુખ માંડવીયાએ હળવા મિજાજમાં કહ્યું હતું કે, 'પોરબંદરનું હવાઈ ગયું, રાણાવાવનું હવાઈ ગયું, કુતિયાણાનું હવાઈ ગયું, નિરવભાઈ તમારું પણ હવાઈ ગયું.' આ સાંભળીને ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ખેલ મહાકુંભ મહોત્સવ-2025 અંતર્ગત પોરબંદરમાં ભવ્ય ખેલોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ખેલાડીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. મંત્રી માંડવીયાએ રમતગમતના મહત્વ, યુવાનોને પ્રોત્સાહન અને ફિટ ઇન્ડિયાના સંદેશ પર ભાર મૂક્યો હતો. જોકે, તેમના ભાષણનો આ ખાસ ભાગ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. લોકો તેને હળવી મજાક તરીકે શેર કરી રહ્યા છે અને યુવાઓ તેમજ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેના પર વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
ભાત શાળાના 910 વિદ્યાર્થીઓને રેઈનકોટનું દાન:દીપની પાંચમી પુણ્યતિથિએ મુકેશભાઈ પટેલે આપ્યા
13 ડિસેમ્બર 2025ના રોજ, ભાત ગામની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી મુકેશભાઈ મોહનભાઈ પટેલ (નિવૃત કર્મચારી, બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ) દ્વારા તેમના પુત્ર ચિ. દીપની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આ દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાત પ્રાથમિક શાળાના કુલ 660 વિદ્યાર્થીઓ, એસ.એલ. પટેલ હાઈસ્કૂલ, ભાતના ૨૫૦ વિદ્યાર્થીઓ અને ભાત ગામની તમામ આંગણવાડીના બાળકોને રેઈનકોટ આપવામાં આવ્યા. શાળા છૂટવાના સમયે ભારે વરસાદ પડતો હોવાથી વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મુકેશભાઈને આ સેવાકાર્ય કરવાનો વિચાર આવ્યો હતો. શાળા પરિવારે આ દાન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો અને ચિ. દીપને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અગાઉના વર્ષોમાં પણ શ્રી મુકેશભાઈ પટેલે ભાત ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોને સ્વેટર, પાણીની બોટલ અને બુટ-મોજાનું દાન આપ્યું છે. મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ આગામી વર્ષોમાં પણ આવા સેવાકીય કાર્યો દ્વારા ભાત પ્રાથમિક શાળાના બાળકોને યોગદાન આપતા રહેશે. ભાત શાળા પરિવાર તેમના આ ઉમદા કાર્ય બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.
અમદાવાદ સ્થિત શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવનેસ અને સોશિયલ એન્ટ્રપ્રેન્યોરશિપ (ICSISE-2025) પર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંકલિત જ્ઞાન અને આંતરદૃષ્ટિની આપ-લે કરવાનો હતો. આ પરિષદમાં ભારત અને વિદેશના શિક્ષણવિદો, સંશોધકો, ઉદ્યોગ પ્રેક્ટિશનરો, નીતિ નિર્માતાઓ અને સામાજિક સંશોધકોએ ભાગ લીધો હતો. તે જ્ઞાન અને વિચારોના આદાનપ્રદાન માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું. નેપાળના નેશનલ પ્લાનિંગ કમિશનના ભૂતપૂર્વ મેમ્બર અને અર્થશાસ્ત્રી ડૉ. રામ કુમાર ફુયાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ સસ્ટેનેબિલિટી અને ઇન્ક્લુઝિવનેસ ડેવલપમેન્ટ માટે ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હી સ્થિત AIMAના સેન્ટર ફોર મેનેજમેન્ટ એજ્યુકેશનના ડિરેક્ટર ડૉ. રોહિત સિંહે ટકાઉ વ્યૂહાત્મક નિર્ણય લેવાની અને ભારત સરકારની સહકાર પહેલ પર મુખ્ય ભાષણ આપ્યું. ક્વોન્ટમફોર્સ ઇન્ક., યુએસએના સીઇઓ ડૉ. ભૂપેન્દ્ર ચૌધરીએ કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં સસ્ટેનેબિલિટી અને સોશિયલ એન્ટ્રપ્રેન્યોરશિપની પુનઃકલ્પના પર વિશેષ ભાષણ રજૂ કર્યું. આ પરિષદને કુલ 250 રિસર્ચ પેપર સબમિશન મળ્યા હતા. તેમાંથી 90 ઉચ્ચ-ગુણવત્તાવાળા પેપર્સ પ્રેઝન્ટેશન માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં નેપાળ, યુએસએ, કેનેડા, સિંગાપોર, સેનેગલ અને મેક્સિકોના 13 આંતરરાષ્ટ્રીય સબમિશનનો સમાવેશ થાય છે. કોન્ફરન્સનો એકંદર શ્રેષ્ઠ પેપર એવોર્ડ બર્દવાન યુનિવર્સિટીના દત્તાત્રેય દત્તા અને દેબદાસ રક્ષિતને તેમની અસાધારણ સંશોધન ગુણવત્તા અને યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્રિભુવન યુનિવર્સિટીના સીઈડીએના ડો. અર્જુન કુમાર બરાલના વિદાય ભાષણ સાથે કોન્ફરન્સનું સમાપન થયું, ત્યારબાદ ડો. તુષાર પાણિગ્રહીએ આભારવિધિ કરી.

23 C