રાજકોટમાં ખોડલધામ વરિષ્ઠ નાગરિક ભવન દ્વારા બ્રહ્માકુમારીઝ રિટ્રીટ સેન્ટર હેપ્પી વિલેજ ખાતે એક વરિષ્ઠ નાગરિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વડીલોનું સન્માન અને આધ્યાત્મિક જ્ઞાન આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત આમંત્રિતોના સ્વાગતથી થઈ હતી, જેમાં ચંદન તિલક અને બ્લેસિંગ કાર્ડથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.બ્રહ્માકુમારી અંજનાબેને બ્રહ્માકુમારી સંસ્થાનો પરિચય આપ્યો હતો. અને બાદમાં બ્રહ્માબાબા તથા બ્રહ્માકુમારી ભારતીદીદીજીના જીવન વિશે વાત કરી હતી. બ્રહ્માકુમારી રેખાબેને વડીલોને સંબોધતા કહ્યું કે, તમે ઘરના વડલા છો અને ઘરનું કેન્દ્ર છો. પોતાને અપ્રમુખ ન માનશો. તમે એકલા નથી, પરમાત્મા હંમેશા તમારી સાથે છે. તેમણે સૌને મનથી યુવાન રહેવાની સલાહ આપી હતી. કાર્યક્રમમાં સિનિયર સિટીઝનો માટે સામૂહિક નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમમાં ખોડલધામ સિનિયર સિટીઝન ક્લબના લગભગ 100 સભ્યોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે દરેક વડીલના ચહેરા પર સંતોષ અને ખુશી જોવા મળી હતી. નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે 'સ્વચ્છતા હી સેવા' થીમ પર રંગોળી ઉત્સવનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સ્વચ્છતા હી સેવા થીમ પર રંગોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, 16 સપ્ટેમ્બરના રોજ, 90 કલાકારો પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વિવિધ પ્રોજેક્ટ પર આધારિત અવનવી 75 રંગોળીઓ બનાવશે. આ રંગોળી પ્રદર્શન 17 અને 18 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. જેને લઈ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શહેરીજનોને આ પ્રદર્શન નિહાળવા માટે અપીલ કરી છે. સ્વચ્છતા હી સેવા-2025ની ઉજવણી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'કલ્ચરલ ફેસ્ટ'નું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરગમ કલબના સહયોગથી 'સ્વચ્છ ભારત મિશન'ની 11મી વર્ષગાંઠ નિમિત્તે 'સ્વચ્છોત્સવ'ની ઉજવણીનો પ્રારંભ થશે. આ અંતર્ગત, તા. 17 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 8:30 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ ખાતે 'કલ્ચરલ ફેસ્ટ' (સંગીત સંધ્યા)નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં જાણીતા કવિ સંજુભાઈ વાળાના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય થશે. મેયર નયના પેઢડીયા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, અને અન્ય પદાધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સંગીત સંધ્યામાં કલાકારો દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને 'સ્વચ્છતા હી સેવા'નો સંદેશ આપવામાં આવશે. કલેક્ટર દ્વારા 3 મહિનામાં અપીલના 280 કેસ ઠરાવ પર લેવાયા, 90 કેસોનો નિકાલ રાજકોટના કલેક્ટર દ્વારા છેલ્લા 3 મહિનામાં અપીલના 280 કેસ ઠરાવ પર લેવામાં આવ્યા છે અને તેમાંથી 90 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. કલેક્ટર તરીકે ડો. ઓમપ્રકાશનો ચાર્જ સંભાળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી અરજદારો અને વકીલોને રાહત થઈ છે. કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કલેક્ટર ડો. ઓમપ્રકાશે ચાર્જ સંભાળ્યો ત્યારે અપીલના 600થી વધુ કેસ પેન્ડિંગ હતા. આ પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ખાસ સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટાભાગના કેસો મિલકત અને જમીન વિવાદને લગતા હતા. બાકીના કેસોનો નિકાલ આગામી 1-2 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. રાજકોટની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદ્દત લંબાવવા દરખાસ્ત રાજકોટ પશ્ચિમ વિસ્તારની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદત લંબાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 13 જાન્યુઆરી, 2021ના રોજ અશાંત ધારો લાગુ થયો હતો, જેની મુદત 12 જાન્યુઆરી 2026ના રોજ પૂરી થઈ રહી છે. આ 28 સોસાયટીમાં છોટુનગર, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈનગર, આરાધના સોસાયટી, સ્વસ્તીક સોસાયટી, ઈન્કમટેક્ષ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી, દિવ્યસિધ્ધી સોસાયટી, જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતીકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરૂનગર સોસાયટી, રાજનગર, અને અલ્કાપુરી સોસાયટીનો સમાવેશ થાય છે. પાંચ વર્ષના સમયગાળા દરમિયાન મિલકતોના વેચાણ માટે ઘણા દસ્તાવેજોને મંજૂરી આપવામાં આવી છે અને ઘણા કેસ હજુ પણ પોલીસમાં પેન્ડિંગ છે. આ મુદત પૂરી થાય તે પહેલાં, સીટી પ્રાંત-1 અધિકારી ડો.ચાંદની પરમાર દ્વારા આ સોસાયટીઓમાં અશાંત ધારાની મુદત લંબાવવા માટે જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશને દરખાસ્ત મોકલવામાં આવી છે. કલેક્ટર દ્વારા આ દરખાસ્તનો અભ્યાસ કર્યા બાદ, તેને રાજ્ય સરકારને મોકલવામાં આવશે, જ્યાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે વાંકાનેર અને મોરબી વચ્ચેની 12 ડેમુ ટ્રેન સેવાઓ રદ કરાઈ રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ટેકનિકલ કારણોસર તારીખ 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે મુસાફરોને થનારી અસુવિધા ટાળવા માટે, રેલવે દ્વારા રદ થયેલી ટ્રેનોની વિગતો જાહેર કરવામાં આવી છે. રેલવે દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવી છે કે, આ ફેરફારને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને વિગતો ચકાસી શકે છે. રદ થયેલી ટ્રેનોની યાદી: * ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર * ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર * ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર * ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર * ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર * ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર * ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી * ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી * ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી * ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી * ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી * ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી
ગોધરા શહેરમાં મંગળવારે વીજ કંપની MGVCLની કામગીરીને કારણે સવારે 6:30 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ કાપની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, રાત્રે 7 વાગ્યા સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતાં લોકોએ વીજ કંપનીની કચેરીએ હંગામો મચાવ્યો હતો. ભુરાવાવ, સાંપા રોડ, રામનગર, સૂર્યનગર, નિત્યાનંદ નગર, ખાડી ફળિયા અને સિંદૂરી માતા મંદિર વિસ્તારના રહીશો MGVCLની કચેરીએ પહોંચ્યા હતા. લોકોનો રોષ જોઈને કચેરીના કર્મચારીઓ ઓફિસની લાઈટ બંધ કરી ભાગી ગયા હતા. કંપનીએ ફીડરોની કામગીરી માટે માત્ર સાડા છ કલાકનો વીજ કાપ જાહેર કર્યો હતો. પરંતુ 13 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. લોકોના આક્રોશ બાદ તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો અને મામલો શાંત પડ્યો હતો.
રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:108 ગુણી તલની ચોરી કરતા 3 શખ્સો ઝડપાયા પણ મુદ્દામાલ ન મળ્યો
શહેરની ભાગોળે નવાગામ રાણપુર ગામે આવેલા ગોડાઉનમાંથી રૂ. 4.75 લાખની તલની 108 ગુણીઓની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ કુવાડવા રોડ પોલીસે ઉકેલી ચોટીલા,ગારીડાના ત્રણ શખ્સોને દબોચી લઇ મહીન્દ્રા બોલેરો ગાડી કબ્જે કરી છે. જોકે આ ટોળકીએ તલ ચોર્યા એ સાથે જ સસ્તા ભાવે વેંચી નાખ્યા હતા. જે ત્રણ શખ્સ પકડાયા છે તેણે સુત્રધાર તરીકે અન્ય એક શખ્સ હોવાનું રટણ કરતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. કુવાડવા રોડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી હોર્ન ઓકે હોટેલ સામેથી ત્રણ શખ્સોને બોલેરો સાથે પકડી લેવાયા છે. જેમાં ચોટીલાના ખડગુંદાના રણજીત છગન સોલંકી (ઉ.વ.22), રાજકોટના ગારીડાના કેતન ઉર્ફ ભુદીયો ભરત ધરજીયા (ઉ.વ.21) અને જયંતિ કુવરા ધરજીયા (ઉ.વ.20)ને પકડી લઇ જીજે 13 એએક્સ-1730 નંબરની 6 લાખની બોલેરો કાર કબ્જે કરી હતી. વધુમાં આરોપીની પૂછતાછમાં સામે આવેલ કે, આ ટોળકીએ ગત જુલાઇ મહિનાની 14મી તારીખે બોલેરો સાથે નવાગામ આણંદપરના ગોડાઉનમાં ત્રાટકી તલની ગુણીઓ ચોરી લીધી હતી. તે વખતે સંજીવકુમાર રાજેન્દ્રપ્રસાદ શ્રીવાસ્તવની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો હતો.જો કે ઝડપાયેલા ત્રણ શખ્સોએ આ ચોરીમાં સુત્રધાર ગારીડાનો અન્ય એક શખ્સ હોવાનું અને તલ તેણે વેંચી નાંખ્યાનું કહેતાં તપાસ શરૂ થઇ છે. જેથી પોલીસે તે આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાંથી સુરતનો શખ્સ ઝડપાયો, 4 વાહન ચોરીના ભેદ ઉકેલાયા કાલાવડ રોડ પર શ્રીજી હાઈટ તરફ જતા રોડ નજીક ચોરાઉ બાઈક સાથે એક શંકાસ્પદ શખ્સ ઉભો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે એકટીવા સાથે સુમિત વિરાણીને ઝડપી પાડ્યો હતો. બાદમાં વાહન અંગે પોકેટ કોપ એપમાં સર્ચ કરતા તે વાહન અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવતા પોલીસે પૂછપરછ કરતા બે મહિના પૂર્વે 150 ફૂટ રીંગ રોડ પર કૃતિ ઓનેલા નજીકથી બાઈક ચોરી ગયાની કેફીયત આપી હતી.વધુમાં તસ્કરે 2 મહિના પૂર્વે 150 ફૂટ રીંગ રોડ પર બિગ બજાર નજીકથી ટીવીએસ જયુપીટર, 3 માસ પૂર્વે સુરતના વરાછા રોડ પરથી એકટીવા, ગોંડલ બસ સ્ટેન્ડ નજીકથી 3 મહિના પૂર્વે એક્ટિવા ચોરી કર્યાની કેફીયત આપી હતી. બાદમાં તાલુકા પોલીસની ટીમે કાલાવડ રોડ પર અંધ વૃદ્ધાશ્રમ નજીક જીનીયસ સ્કૂલ તરફ જતા રોડની દિવાલ પાસેથી અન્ય ત્રણ વાહનો કબ્જે કરી તસ્કર સુમિત બાબુ વિરાણી(ઉવ 25 હાલ રહે. મોટા વરાછા, સુરત અને મૂળ રંગે ખાનકોટડા, કાલાવડ, જામનગર)ની ધરપકડ કરી રૂ.1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તસ્કરની ધરપકડ થતાં 4 વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ હુમલો, એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળના ગુના નોંધાઈ ચુક્યા છે. મોરબી રહેતા યુવાનને મળવા બોલાવી પૂર્વ પ્રેમિકાએ પ્રેમી સાથે મળી માર માર્યો, રોકડ - મોબાઈલ ઝૂંટવી લીધા મોરબીમાં શનાળા બાયપાસ પાસે ઇસ્કોન બિલ્ડીંગમાં રહેતા ભરત રામજીભાઈ રાઠોડ (ઉ.વ. 31) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુષ્કરધામ મેઇન રોડ પર કેવલમ સોસાયટી સામે આરએમસી ક્વાર્ટરમાં રહેતી વર્ષા ભુપેન્દ્ર નારોલા અને રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતા સુનિલ ચના ચાવડાના નામ આપ્યું હતુ. યુવાન જણાવે છે કે, તે છેલ્લા 6 મહિનાથી પવનચક્કીની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. 1 વર્ષ પહેલા પુષ્કરધામ મેઈન રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ઈલેક્ટ્રીક મેનનું કામ સંભાળતો હતો. તે વખતે જુલાઈ 2024 માં અહીં સફાઈ કામ માટે આવતી વર્ષા સાથે મિત્રતા થઈ હતી બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. આશરે 8 માસ પ્રેમ સંબંધ રહ્યો હતો. જોકે 5 મહિના પૂર્વે સુનિલ ચાવડા નામના યુવાન સાથે વર્ષા ભાગી ગઈ હતી. યુવાને વર્ષાને અગાઉ મોબાઈલ ગિફ્ટ આપ્યો હતો. જેના હપ્તા તે ભરતો હતો પરંતુ વર્ષા ભાગી ગયા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતુ અને મોબાઈલ લોક થઈ ગયો હતો. યુવાન વર્ષા સાથે મોબાઈલ ફોનમાં વાતચીત કરતો હોય જે સુનિલને સારું લાગતું ન હતુ. આ દરમિયાન ગત તા. 26/7 ના સાંજના 7 વાગ્યા આસપાસ વર્ષાનો ફોન આવ્યો હતો અને યુવાનને કહ્યું હતું કે, તું મોબાઈલ પરત લઈ જા તું મને રાજકોટ મળવા આવ આપણે ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ જોવા જઈશું. જેથી યુવાન રાજકોટ આવ્યો હતો પરંતુ ટિકિટ ન મળતા બંને પ્રેમ મંદિર ગાડીમાં જવાનું નક્કી કર્યું હતું. ક્રિસ્ટલ મોલની સીડી ઉતરતા હતા ત્યારે સુનિલ આવી ગયો હતો અને ઝપાઝપી કરી યુવાનના પાકીટમાંથી રૂ.10000 તથા તેનો મોબાઈલ ફોન બળજબરીથી લઈ લીધા હતા. બાદમાં યુવાન પાસે પૈસા ન હોય તે ચાલીને ગોકુલધામમાં રહેતા મામા અશોકભાઈના ઘરે પહોંચ્યો હતો અને ત્યારબાદ તેણે આ બંને સામે ફરિયાદ નોંધાવી છે. 15 લાખ ઉધાર નહીં આપતા યુવાનને કૌટુંબિક શખ્સે છરી મારી દીધી સાધુ વાસવાણી રોડ પર રહેતા યુવાનને કૌટુંબિક શખ્સે બેઠકના ભાગે છરી મારી દીધાનો બનાવ સામે આવ્યો છે. યુવાનના પિતા પાસેથી અગાઉ રૂ.10000 ઉધાર લીધા હતા. જે બાદ તે નાણા પરત આપ્યા ન હતા. જે પછી મકાન ખરીદવા માટે રૂ. 15 લાખ માંગ્યા હતા જોકે રૂપિયા નહિ આપતા તે શખ્સે હૂમલો કર્યો હતો અને ખૂનની ધમકી આપી હતી. જે અંગે યુનિવર્સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. સાધુ વાસવાણી રોડ પર જનકપુરીની સામે આરએમસી ક્વાર્ટર નંબર-1095 માં રહેતા 35 વર્ષીય યુવાન મેહુલભાઈ ભોપાભાઈ ચુડાસમાએ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રખડતુ જીવન જીવતા જીલ લલિત ચુડાસમાનું નામ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હાલ તેઓ 79 વર્ષીય પિતા ભોપાભાઈ, પત્ની રાધિકા અને પુત્રી સાથે રહે છે. તે ત્રણ વર્ષથી અમીન માર્ગ સ્થિત એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ બ્રાન્ચના એડવાઈઝર તરીકે ફરજ બજાવે છે. 3 માસ પહેલા કૌટુંબિક ભત્રીજાના દીકરા જીલ ચુડાસમા દેણામાં આવી ગયો હોવાથી યુવાનના પિતા પાસે રૂ.10000 ઉધાર લીધા હતા. જે નાણાં આરોપીએ હજુ સુધી પરત આપ્યા નથી અને પિતા પાસે મકાન લેવા માટે 15 લાખ રૂપિયાની માંગણી કરે છે. જે ન દેતા ફોનમાં ટેક્સ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. આ દરમિયાન ગઈકાલે સવારના યુવાન તેમની દીકરીને મવડી ચોકડી સ્થિત સાંદિપની સ્કૂલ ખાતે મુકી ક્વાર્ટરના સેલરમાં પરત પહોંચ્યો ત્યાં જીલ ચુડાસમા ધસી આવ્યો હતો અને છરી કાઢી પેટમાં મારવા જતા યુવાન તુરત જ પડી જતા બેઠકના ભાગે છરીનો એક ઘા વાગ્યો હતો. જોકે યુવાનની પત્ની અને બનેવી પ્રકાશભાઈ સોલંકી આવી જતા જીલ ત્યાંથી નાસી ગયેલ હતો. બનાવને પગલે યુનિવર્સીટી પોલીસે જીલ ચુડાસમા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. સિંગતેલના 11 ડબ્બાના ઓર્ડર બાદ નાણા ન આપી વેપારી સાથે ઠગાઈ શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતા વેપારીને સિંગતેલના ડબ્બાનો ઓર્ડર આપી ગઠિયાએ 11 ડબ્બા કોઈ અજાણી વ્યક્તિની ફરસાણની દુકાન પાસે ઉતરાવ્યા હતા. બાદમાં વેપારી બાકીના ચાર ડબ્બા આ શખ્સને આપવા રૈયા પાસે જતા તે અહીં આવ્યો ન હોય શંકા જતા વેપારી ફરસાણની દુકાને જતા 11 ડબ્બા ગાયબ હતા. જેથી તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા રૂ.29,700 ની ઠગાઈ કર્યા અંગે શૈલેષ ભાલોડીયા નામના શખ્સ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાધુ વાસવાણી રોડ પર જનકપુરી કોમ્પ્લેક્સ બ્લોક નં. 5206 માં રહેતા તુષારભાઇ જેંતીલાલ કાંજિયા (ઉ.વ 41) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે શૈલેષ ભાલોડીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેના મોટા બાપુના પુત્ર સંદીપ કાંજિયાને જામજોધપુર ખાતે ઓઇલ મીલ હોય જેથી તે ત્યાંથી સીંગતેલના ડબ્બા વેપાર માટે રાજકોટ લાવી અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે. જેમના રેફરન્સથી ગત તા. 14/4 ના શૈલેષ ભાલોડીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હું તમારા ગામનો જ છું અને મારે 15 તેલના ડબ્બા જોઈએ છે. વેપારીને તેમના પર વિશ્વાસ આવતા હા પાડી હતી અને શૈલેષે કહ્યું હતું કે, 11 તેલના ડબ્બા રૈયા રોડ ઉપર આવેલ તુલસી સુપર માર્કેટ પહેલા મારી ફરસાણની દુકાન છે ત્યાં મૂકી દેજો બાકીના ચાર ડબ્બા હું રૈયા સ્મશાનની બાજુમાં રહું છું ત્યાં આવો એટલે હું તમને તેલના ડબ્બાના પૈસા આપી દઈશ તેવી ખાતરી આપી હતી. આરોપીની વાત પર વિશ્વાસ કરી વેપારી 11 તેલના ડબ્બા તુલસી સુપર માર્કેટ પાસે ફરસાણની દુકાને મૂક્યા હતા અને બાદમાં રૈયા રોડ સ્મશાન પાસે જઈ શૈલેષભાઈને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી વેપારીએ ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. દારૂના ગુનામાં 3 માસથી ફરાર, સજાના વોરંટમાં નાસતો શખ્સ ઝડપાયો દારૂના ગુનામાં 3 માસથી ફરાર આરોપીને ભક્તિનગર પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે થોરાળા પોલીસ મથકના સ્ટાફે સજાના વોરંટમાં ફરાર આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભક્તિનગર પોલીસ મથકની ટીમને મળેલી બાતમીના આધારે દારૂના ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપી આફતાબ ઉર્ફે ટાલકો સલીમ કાદરી(રહે.આર.એમ.સી ક્વાર્ટર, જંગલેશ્વર) ને તેના ઘર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે થોરાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં રાજકોટના જ્યુડિશીએલ મેજિસ્ટ્રેટ કોર્ટે(ટ્રાફિક)આપેલ સજાના વોરંટમાં નાસતો ફરતો ખુશાલ ગોવિંદભાઈ સોલંકી (રહે. નવા થોરાળા મેઈન રોડ પાણીના ટાંકા પાસે આંબેડકર નગર શેરી નં.2) ને બાતમીના આધારે નવા થોરાળા મેઈન રોડ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો.
હિંમતનગરની જીઆઇડીસીમાં આવેલી બ્રહ્માણી એગ્રોટેક કંપનીમાં આજે બપોર બાદ અચાનક આગ લાગી હતી. આગની ઘટનાથી ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગનું સ્વરૂપ વધુ વિકરાળ બનતા વધારાની મદદ માટે બે અન્ય ફાયર ફાઈટરની ટીમને બોલાવવામાં આવી. ત્રણેય ફાયર બ્રિગેડની ટીમોએ સંયુક્ત રીતે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી. ફાયર ટીમે કુલ 60 હજાર લીટર પાણીનો ઉપયોગ કરીને ચાર કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી. ફાયરમેન મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યા મુજબ,આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે નાગાલેન્ડ રાજ્યના ગેરકાયદેસર હથિયાર લાયસન્સના આધારે હથિયારો ખરીદવા અને રાખવાના કૌભાંડમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 14 થઈ ગઈ છે. આ કૌભાંડના તાર સુરત, ગુજરાત અને નાગાલેન્ડ સુધી ફેલાયેલા છે. ખોટા પુરાવાઓ રજૂ કરીને હથિયારના લાયસન્સ બનાવ્યાકૌભાંડની શરૂઆત અને તપાસઆ સમગ્ર મામલો એપ્રિલ 9, 2025ના રોજ ત્યારે સામે આવ્યો જ્યારે સુરતની ડી.સી.બી. પોલીસે ગજાનન ગન હાઉસના સંચાલક અતુલ પટેલ અને તેના મળતિયાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ગુજરાતના કાયમી રહેવાસી હોવા છતાં, નાગાલેન્ડના રહેવાસી હોવાના ખોટા પુરાવાઓ રજૂ કરીને હથિયારના લાયસન્સ બનાવડાવતા હતા. આ બોગસ લાયસન્સનો ઉપયોગ કરીને તેઓ ગેરકાયદેસર રીતે હથિયારો વેચતા હતા. અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડઅત્યાર સુધીની કાર્યવાહીપોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરી છે. શરૂઆતમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી કુલ 16 હથિયારો, જેની કિંમત 25,48,544 છે, અને 93 કારતૂસ કિંમત 13,390 જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 3 બોગસ નાગાલેન્ડ હથિયાર લાયસન્સ પણ કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતીજૂન 30, 2025ના રોજ આ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ નાસતા ફરતા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. આ પછી વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં તાજેતરમાં પકડાયેલા 3 આરોપીઓનો સમાવેશ થાય છે. એક આરોપી પાસેથી 1,51,350નો મુદ્દામાલ કબજે કર્યોનવા પકડાયેલા આરોપીઓઆજે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓમાંથી એક આરોપી મિતેષ ભરોડીયા પાસેથી પોલીસને 1,51,350નો મુદ્દામાલ મળ્યો છે. આ મુદ્દામાલમાં એક નાગાલેન્ડ રાજ્યનું બોગસ હથિયાર લાયસન્સ, એક રિવોલ્વર, 9 જીવતા કારતૂસ અને એક ફાયરિંગ કરેલી ખાલી કેચીસનો સમાવેશ થાય છે. આરોપી મિતેષનો ગુનાહિત ઇતિહાસઆરોપી મિતેષ ભરોડીયા (ઉંમર 48) રહે કતારગામ, સુરતના રહેવાસી છે. તેમનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને તેમની સામે પલસાણા અને ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. જીવણભાઈ કાનજીભાઈ મારૂ (ઉંમર 30) રહે આણંદ જિલ્લાના બોરીયાવી ગામના રહેવાસી છે. જ્યારે રવિકુમાર રાજેશભાઈ જીલરીયા (ઉંમર 29) મોરબીના રહેવાસી છે. તેમની સામે પણ મોરબીના પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ હેઠળ ગુના નોંધાયેલા છે. નાગાલેન્ડના અધિકારીઓની સંડોવણી હોવાની શંકાઆ કૌભાંડમાં મોટાભાગના આરોપીઓ એવા છે જેમને ગુજરાતમાં હથિયારનું લાયસન્સ મળવાની શક્યતા નહોતી. આ રેકેટમાં ગુજરાત અને નાગાલેન્ડના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની પણ શંકા છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ધરપકડો દર્શાવે છે કે આ ગેરકાયદેસર હથિયારના રેકેટના તાર ઘણા ઊંડા છે અને સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે.
ગુજરાત હજ કમિટીનું સન્માન:ગોધરાના હાજી ઈસ્હાક મામનીને હજયાત્રીઓની સેવા બદલ ટ્રોફી એનાયત
ગુજરાત હજ કમિટીએ ગોધરાના સમાજસેવી હાજી ઈસ્હાક મામનીને વર્ષ 2025ની હજ કમિટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા છે. કમિટીના ચેરમેન ઈકબાલ સૈયદે તેમને વિશેષ ટ્રોફી એનાયત કરી હતી. હજયાત્રા દરમિયાન હાજી ઈસ્હાક મામનીએ યાત્રીઓ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે હજયાત્રીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ યાત્રીઓ માટે વિવિધ સુવિધાઓની વ્યવસ્થા કરી હતી. તેમની આ ઉત્કૃષ્ટ સેવાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત હજ કમિટીએ તેમને સન્માનિત કર્યા છે. આ સન્માનથી ગોધરાના મુસ્લિમ સમાજમાં હર્ષની લાગણી છવાઈ છે. સમાજના આગેવાનો અને યુવાનોએ હાજી ઈસ્હાક મામનીને શુભેચ્છાઓ પાઠવી છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પ્રેમસંબંધ તૂટી જતાં એક મહિલા કરારકર્મીએ તેના પ્રેમી જે તે જ યુનિવર્સિટીમાં કામ કરે છે તેની સામે 'સેક્સ્યુઅલ હેરેસમેન્ટ'ની ફરિયાદ નોંધાવી છે. મહિલા કર્મચારીનો મુખ્ય આરોપ છે કે, પુરુષ કર્મચારીએ લગ્ન કરવાનું વચન આપ્યા બાદ હવે તે લગ્નની ના પાડી રહ્યો છે. કમિટીએ બંને પક્ષોને બોલાવીને તેમની રજૂઆતો સાંભળીઆ ઘટના ત્યારે સામે આવી જ્યારે મહિલા કર્મચારી અને તેની એક બહેનપણીએ પુરુષ કર્મચારી વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ 'સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી'ના નામ પર બંધ કવરમાં સુપરત કરવામાં આવી હતી, જેને યુનિવર્સિટીના અધિકારીઓએ સીધી જ કમિટીને મોકલી આપી. કમિટીએ તત્કાળ બંને પક્ષોને બોલાવીને તેમની રજૂઆતો સાંભળી. યુનિવર્સિટીની બહાર અનેકવાર મળતા હતાબંને કર્મચારીઓએ સ્વીકાર્યું કે તેઓ એકબીજા સાથે પ્રેમસંબંધમાં હતા અને યુનિવર્સિટીની બહાર પણ અનેકવાર મળતા હતા. જોકે, લગ્નની વાત પર સંબંધોમાં તિરાડ પડી અને બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ જ મહિલા કર્મચારી અને તેની બહેનપણીએ આ ફરિયાદ કરી. લગ્ન માટે ના પાડવાનું કારણપુરુષ કર્મચારીએ કમિટી સામે રજૂઆત કરી કે તેણે લગ્ન માટે એટલા માટે ના પાડી કારણ કે મહિલા કર્મચારી ડિવોર્સી છે અને તેને એક નાની બાળકી છે. તેના પરિવારજનો આ લગ્ન માટે તૈયાર ન હોવાથી તેણે આ સંબંધ આગળ વધારવાની ના પાડી. યુનિવર્સિટીના અધિકારીઓએ તપાસ કરતાં એવું પણ જણાઈ આવ્યું છે કે, મહિલા કર્મચારીને કામના સ્થળે કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી ન હતી. આ મામલો સંપૂર્ણપણે અંગત સંબંધોનો છે. યુનિવર્સિટીની સલાહ અને બહેનપણીનો ખુલાસોયુનિવર્સિટીના અધિકારીઓએ મહિલા કર્મચારીને સ્પષ્ટ જણાવ્યું કે, આ મામલો તેમના કાર્યક્ષેત્રની બહારનો છે. તેમણે સમજાવ્યું કે જો કોઈ કામના સ્થળે શારીરિક કે માનસિક રીતે હેરાનગતિ કરતા હોય તો જ તે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીના દાયરામાં આવે છે. લગ્ન કરવા કે ન કરવા એ બંને વ્યક્તિઓનો અંગત મામલો છે, અને આ માટે પોલીસમાં ફરિયાદ કરી શકાય છે. આશ્ચર્યજનક રીતે, ફરિયાદ કરનાર મહિલા કર્મચારીની બહેનપણીએ પણ તપાસ દરમિયાન કબૂલ્યું કે તેણે માત્ર તેની મિત્રના કહેવાથી જ ફરિયાદ કરી હતી. બંનેની ફરિયાદોના લખાણ પણ એક સરખા જ હતા, જેમાં માત્ર નામો અલગ હતા.
જામનગરમાં GST વિભાગની મોટી કાર્યવાહી:સાંઢીયા પુલ પાસેથી 7 વાહનો કબજે, બ્રાસપાર્ટ્સનો માલસામાન જપ્ત
અમદાવાદથી આવેલી જીએસટી વિભાગની ટીમે જામનગરમાં મોટી કાર્યવાહી કરી છે. સાંઢીયા પુલ પાસે ચેકિંગ દરમિયાન વિભાગે 7 વાહનોમાંથી બ્રાસપાર્ટ્સનો માલસામાન જપ્ત કર્યો છે. જીએસટી વિભાગે વાહનો પર 136 ટકાની પેનલ્ટીની માંગણી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન વેપારીઓ સાથે રકઝક થતાં તમામ વાહનોમાં રહેલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તમામ વાહનોને જીએસટી કચેરી ખાતે સીલ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા અને જીઆઈડીસી ફેઝ-2-3 એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા સહિત ઉદ્યોગ નગરના આગેવાનો જીએસટી કચેરી દોડી આવ્યા હતા. તેમણે અધિકારીઓને રજૂઆત કરી હતી કે જપ્ત કરાયેલો માલસામાન મજૂરી કામ કરતા લોકોનો છે. વળી, આ માલ અર્ધ ફિનિશ્ડ છે, ફિનિશ્ડ નથી. જોકે, વિભાગે તેમની રજૂઆત ધ્યાને લીધી નથી.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કેરાળાથી બોટાદ જવાના રસ્તા પર ગંભીર અકસ્માત સર્જાયો છે. હરિપર ગામ નજીક ફોરવ્હીલર કાર કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકસ્માત સમયે કારમાં દવાનો જથ્થો ભરેલો હતો. કાર ચલાવી રહેલા વ્યક્તિએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી કેનાલમાં જઈને પડી હતી. આ અકસ્માતમાં રાજેન્દ્રસિંહ ભીખુભાઈ ઝાલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કારમાં સવાર અન્ય વ્યક્તિ અફઝલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક રાજેન્દ્રસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત અફઝલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદના બાપુનગરમાં પત્નીએ પતિના ત્રાસથી આપઘાત કર્યો છે. પતિ પત્નીને ત્રાસ આપીને દહેજની માંગણી કરીને ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. પત્નીના પિતા સાથે પણ પતિએ ફોન કરીને ઝઘડો કર્યો હતો. જેથી કંટાળીને પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ અંગે મૃતકના પિતાએ જમાઇ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાનો ગુનો નોધાવ્યો છે. બેંગ્લોરમાં રહેતા લાલનપ્રસાદ રાજભર ખાનગી કંપનીમાં મજૂરીકામ કરે છે. લાલનપ્રસાદે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તેમની 24 વર્ષીય પુત્રી સુનિતાના લગ્ન બે વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના સોનુકુમાર રાજભર સાથે થયા હતા. જેમાં છ મહિના પહેલાં પતિ-પત્ની અમદાવાદના બાપુનગરમાં રહેવા આવ્યા હતા. તેમજ બે મહિનાથી સુનિતા તેના પિતાને ફોન કરીને જણાવતી હતી કે પતિ તેને બહુ હેરાન કરે છે અને માર મારે છે. તેમજ દહેજમાં કંઇ લાવી નથી તું પિતા પાસેથી લઇ આવ કહીને મરી જવા કહેતો હતો. તેમજ પતિને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ છે તેમ પણ કહ્યું હતું. ગત 14 સપ્ટેમ્બરે સુનિતાની પુત્રીને તબિયત બગડતા દવાખાને લઇ ગયા હતા પરંતુ રૂપિયા ન હોવાથી સુનિતાના પિતાએ ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ લાલનપ્રસાદે જમાઇ સોનુ સાથે વાત કરતા ઉશ્કેરાઇને ઝઘડો કર્યો હતો. બાદમાં સુનિતાએ પતિના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે લાલનપ્રસાદે જમાઇ સોનુકુમાર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાનો ગુનો નોધાવ્યો છે.
આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિના તહેવારનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ શહેરને પ્રથમ નંબર મળ્યો છે, ત્યારે લોકોમાં સ્વચ્છતા માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેના માટે સ્વચ્છ નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કરાયું છે. સોસાયટીઓ અને સામુહિક ગરબા બે અલગ અલગ શ્રેણીમાં વિજેતાને 1 લાખ સુધીના ઇનામ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ 3 વિજેતા અને શહેર કક્ષાએ પ્રથમ 3 વિજેતા એમ બે ભાગમાં વિજેતા નક્કી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન ફોમ મેળવવા અહીં ક્લિક કરો સ્પર્ધાના મુખ્ય ઉદ્દેશ્યો આ સ્પર્ધા મુખ્યત્વે બે શ્રેણીમાં યોજાશે સ્પર્ધા અંગે રજિસ્ટ્રેશન સ્પર્ધાના નિયમો અને માપદંડોરહેણાંક એકમો-વિસ્તારોના આયોજકો વિશેષ થીમ સામૂહિક ગરબા આયોજકો (પાર્ટી પ્લોટ, ખુલ્લા પ્લોટ, વગેરે) વિશેષ થીમ
સુરત નવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનર અનૂપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે એક વિસ્તૃત સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે સુરતમાં 1,000થી વધુ કોમર્શિયલ, નોન-કોમર્શિયલ અને શેરી ગરબાના આયોજનો થવાના છે. આ તમામ આયોજનોને સુરક્ષા પૂરી પાડવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવશે, જેમાં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો પણ સમાવેશ થાય છે. સી ટીમની અલગ-અલગ ટીમો તૈનાત રહેશે. AI કેમેરાથી ગરબા સ્થળનું ક્રાઉડ મેનેજમેન્ટ કરાશેઆ વર્ષની સુરક્ષા વ્યવસ્થાની સૌથી મહત્વની વિશેષતાઓમાંની એક એ છે કે, તમામ ગરબા આયોજકોને આયોજન સ્થળોએ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. આ કેમેરા સીધા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે. આ લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખી શકશે અને જો કોઈ જગ્યાએ ઓવરક્રાઉડિંગ જોવા મળશે, તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક આયોજકોને સૂચના આપીને ભીડને ઓછી કરવા માટે પગલાં લેવામાં આવશે. આ પગલું માત્ર ક્રાઉડ મેનેજમેન્ટ માટે જ નહિ, પરંતુ કોઈપણ અપ્રિય ઘટનાને અટકાવવામાં પણ મદદરૂપ થશે. નાઈટ શિફ્ટ માટે ખાસ ટીમ, શહેરભરમાં વોચ ટાવરનવરાત્રિ દરમિયાન રાત્રે ટ્રાફિકની સમસ્યા સામાન્ય રીતે વધુ રહે છે, ખાસ કરીને જ્યારે ગરબા આયોજન પૂર્ણ થાય છે અને મોટી સંખ્યામાં લોકો એકસાથે ઘરે પાછા ફરે છે. આ સમસ્યાને અટકાવવા અને લોકો સુરક્ષિત રીતે ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ખાસ નાઈટ શિફ્ટ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ટ્રાફિક વ્યવસ્થા જાળવશે અને જરૂરિયાત મુજબ પગલાં લેશે. આ ઉપરાંત, શહેરભરમાં વોચ ટાવર, ચેક પોઈન્ટ અને નાકાબંધી જેવી તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે, જેનાથી અસામાજિક તત્વો પર નજર રાખી શકાય અને કાયદો તથા વ્યવસ્થા જાળવી શકાય. સુરક્ષા અને સ્વચ્છતા પર ભારપોલીસ દ્વારા ગરબા આયોજન સ્થળોની આસપાસની જગ્યાઓની સાફ-સફાઈ અને લાઇટિંગ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેસીબી મશીનથી વેરાન અને ઝાડી-ઝાંખરાવાળી જગ્યાઓની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે અને અંધારાવાળી જગ્યાએ લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી છે. આવી જગ્યાઓ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, ડ્રોન અને બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરીને તમામ જગ્યાએ નજર રાખવામાં આવશે. આ પ્રયાસોનો મુખ્ય હેતુ એ છે કે, નવરાત્રિનો પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને. હિન્દુ સંગઠનો સાથે પણ બેઠકતાજેતરમાં કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા ગરબા આયોજકોને અન્ય ધર્મના લોકોને આયોજનમાં સામેલ ન કરવા માટે સૂચનાઓ અને ધમકીઓ આપવાની ઘટનાઓ સામે આવી હતી. આ અંગે સુરત પોલીસ કમિશનર અનૂપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, પોલીસે આવા સંગઠનો સાથે પણ બેઠકો યોજી છે અને તેમને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે, જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સીધે સીધી પોલીસનો સંપર્ક કરવો. તેમણે ખાતરી આપી છે કે, આવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિને શાંતિનો ભંગ કરવા દેવામાં આવશે નહીં. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ગરબા રમવા આવેલા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે. વ્યાપક સુરક્ષા વ્યવસ્થાઆ વર્ષે સુરતમાં 15 જેટલા મોટા કોમર્શિયલ ગરબા અને 900થી વધુ સોસાયટી તથા શેરી ગરબાનું આયોજન થવાનું છે. આ તમામ આયોજનો માટે એક સુગ્રથિત અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનર અનૂપમ સિંહ ગેહલોત દ્વારા ગરબા આયોજકો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં કાયદાકીય માર્ગદર્શિકાઓ અને સુરક્ષાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પગલાંનો હેતુ એ છે કે, સુરતમાં નવરાત્રિથી લઈને દશેરા સુધીનો પર્વ શાંતિ, સુરક્ષા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય. આ પણ વાંચો- નવરાત્રિને લઈને રાજકોટ પોલીસની ગાઈડલાઈન તૈયાર:1000 જવાનો- SHE ટીમનો બંદોબસ્ત, બ્લેક સ્પોટસ પર નાઇટ પેટ્રોલિંગ કરાશે; ગરબાના સ્થળે CCTV-ઈમરજન્સી એક્ઝિટ ગેટ ફરજિયાત
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આનંદબાગ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસોઈ કામ માટે આવેલા મહિલા અને મકાન માલિક વચ્ચે થયેલી બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ. બંને પક્ષો છરી વડે ઘાયલ થયેલી હાલતમાં મળી આવ્યા હતા. લીમડાલેન વિસ્તારમાં ઝેરોક્ષની દુકાન ચલાવતા મુકેશભાઈ અગ્રાવત (58)ના ઘરે રસોઈ કામ માટે આવેલા ભાવનાબેન ચૌહાણ સાથે કોઈ બાબતે વિવાદ થયો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષો વચ્ચે છરીથી હુમલો થયો હતો. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનાબેનની સ્થિતિ વધુ ગંભીર છે કારણ કે તેમની ગળાની ધોરી નસ કપાઈ ગઈ છે. બંને દર્દીઓની સઘન સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. પી.આઈ. પી.પી. ઝા અને તેમની ટીમ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ બંને પક્ષોના નિવેદન લઈને વિવાદનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
વડોદરા રેલવે મંડળ દ્વારા સુરક્ષા ધોરણોના મૂલ્યાંકન અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની તપાસ માટે આજે ગોધરા યાર્ડની લાઇન નં.2 પર NDRFના સહયોગથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે અને NDRFની ટીમોએ સંયુક્ત રૂપે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતીગોધરા સ્ટેશન મેનેજર દ્વારા કન્ટ્રોલ રૂમને સૂચના આપવામાં આવી કે શંટિંગ દરમિયાન બે કોચ લાઇન નં. 2 પર ડિરેલ થઈ ગયા છે. સૂચના મળતાં જ વડોદરાથી એક્સિડન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટ અને એક્સિડન્ટ રિલીફ ટ્રેન ગોધરા માટે રવાના કરવામાં આવી. ત્યારબાદ રેલવે ઓથૉરિટી, NDRF, SDRF, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, RPF, સિવિલ ડિફેન્સ અને સ્થાનિક હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પર ઘાયલોની સારવાર માટે ટેન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હતા, યૂનિફાઇડ કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું સાથે ગોધરા સ્ટેશન અને સાઈટ પર હેલ્પલાઇન બૂથ સ્થાપિત કરવામાં આવ્યા હતા. રેલવે અને NDRFની ટીમોએ સંયુક્ત રૂપે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન EMRI-108ની બે એમ્બ્યુલન્સ હાજર હતી. સંયુક્ત પ્રયત્નોથી 13 કાલ્પનિક પીડિતો (11 ઘાયલ અને 2 મૃત) ને કોચની બારી અને છત કાપીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર પછી ઘાયલો અને મૃતકોને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મૉક ડ્રિલની દેખરેખ વડોદરા મંડળ રેલવે મેનેજર રાજૂ ભડકે, સિનિયર મંડળ સંરક્ષા અધિકારી શરદ ગૌતમ અને NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ સંજય દ્વારા કરવામાં આવી હતી. એજન્સીઓની તત્પરતા અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો અભ્યાસ હતોવડોદરા મંડળ રેલવે મેનેજર રાજૂ ભડકેએ જણાવ્યું કે, આ ફક્ત એક અભ્યાસ હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિના સમયે રેલવે અને આપત્તિ વ્યવસ્થાપનથી જોડાયેલી તમામ એજન્સીઓની તત્પરતા અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો. તેમણે સફળતાપૂર્વક મોકડ્રિલ સંપન્ન કરાવવા માટે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યા હતા. આ સંયુક્ત અભ્યાસમાં રેલવેના ઓપરેટિંગ, સેફ્ટી, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરીંગ, સિગ્નલ અને ટેલિકૉમ, મિકેનિકલ, સિક્યોરિટી, કોમર્શિયલ, મેડિકલ વિભાગોના સિનિયર અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે જ NDRF, પોલીસ, મેડિકલ અને સિવિલ વહીવટના અધિકારીઓ અને સ્ટાફ સામેલ રહ્યો હતો.
જોલી LLB 3 ફિલ્મના ટીઝર ઉપર સ્ટેની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી એક અરજદાર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેને પરત ખેંચી લેવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન - CBFC, ડિરેક્ટર સુભાષ કપૂર, કલાકારો અક્ષય કુમાર, અર્શદ વારસી અને સૌરભ શુક્લાને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. CBFC અરજદારની રજૂઆત ઉપર જવાબ આપવાનું હતું. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માગ અરજદારે કરી હતીમળતી માહિતી મુજબ જોલી LLB 3 ફિલ્મ અને ટીઝરને આપવામાં આવેલ સર્ટિફિકેટને અરજદારે હાઇકોર્ટમાં પડકાર્યું હતું. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગ પણ અરજદારે કરી હતી. ફિલ્મનું ટીઝર ન્યાયાધીશને અયોગ્ય રીતે ચિત્રિત કરતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. અરજીમાં ન્યાયિક કાર્યવાહીને હાસ્યાસ્પદ વર્ણનમાં ફેરવીને કોર્ટની ગરીમા ઘટાડી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આ ફિલ્મનું ટિઝર રિલીઝ થઈ ચૂક્યું છે. જ્યારે ફિલ્મ 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ થકી ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આક્ષેપ હતોઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના આઠ પૃષ્ટિમાર્ગિય સંપ્રદાયના અરજદારોએ આમિર ખાનના દીકરા જુનેદ ખાનની ફિલ્મ મહારાજનું રિલીઝિંગ અટકાવવા અરજી કરી હતી. જેમાં કોર્ટે અરજદારોને હંગામી રાહત આપતા અમુક સમય સુધી ફિલ્મના રિલીઝ ઉપર સ્ટે આપ્યો હતો. કોર્ટે નિર્માતા અને CBFCને નોટિસ આપી હતી. હાઇકોર્ટમાં બંને પક્ષે સિનિયર વકીલોનો જમાવડો થયો હતો. આ ફિલ્મ પણ કોર્ટ કેસ સંલગ્ન બદનક્ષી કેસ 1862 ઉપર આધારિત હતી. જેમાં તે વખતના અંગ્રેજ જજોએ આપેલ ચુકાદાની વાત હતી. ફિલ્મ થકી ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આક્ષેપ હતો. ફિલ્મ અટકવાથી તેના પક્ષકારોને કરોડોનું નુકશાન જાય છે. જોકે, હાઇકોર્ટે આખરે ફિલ્મ રિલીઝની મંજૂરી આપી હતી.
શહેરમાં દિન-પ્રતિદિન રોગચાળો વધી રહ્યો છે. ખાસ કરીને પાણીજન્ય રોગચાળાની સાથે હવે મચ્છરજન્ય રોગચાળો પણ વધ્યો છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ડેન્ગ્યુ, કમળો અને ઝાડા-ઉલટી સહિતના કેસોમાં વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ઇજનેર વિભાગની બેદરકારીના પગલે રોગચાળો સતત વધી રહ્યો છે. વરસાદ બાદ પણ ઠેર-ઠેર ગંદકી અને મચ્છરોના કારણે રોગચાળામાં વધારો થયો છે. મચ્છરજન્ય રોગચાળો વધી શકે એવી સંભાવનામ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ચાલુ સપ્ટેમ્બર મહિનામાં 1 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધીના કેસોમાં ડેન્ગ્યુના 200, સાદા મેલેરિયાના 75 અને ઝેરી મેલેરિયાના 7 કેસ નોંધાયા છે. કમળાના 201, ટાઈફોઈડના 180 અને ઝાડા-ઉલ્ટીના 120 કેસ નોંધાયા છે. શહેરના વટવા વિસ્તારમાં એક કોલેરાનો કેસ નોંધાયો છે. જ્યાં પણ વરસાદી પાણી ભરાયેલા છે અને મચ્છરજન્ય રોગચાળો વધે એવી શક્યતા છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લોરીન અંગે પણ તપાસ કરવામાં આવે છે. શહેરના નારોલ વિસ્તારમાં વીજકરંટ લાગતા દંપતીના મૃત્યુના મામલે ટેકનિશિયન અને આસિસ્ટન્ટ ઇજનેર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે બે મહિના પહેલા શાહપુરમાં પણ કરંટ લાગતા યુવકના મોતના કિસ્સામાં જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. વીજકરંટ મોત મામલે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથીકોંગ્રેસના નેતા અતિક સૈયદે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, શહેરના શાહપુર વિસ્તારમાં વીજળીના થાંભલામાં ઉતરેલા કરંટના કારણે જશરાજ ગોયલ નામના વ્યક્તિનું મૃત્યું નીપજ્યું હોવાના કિસ્સામાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ, જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી ત્યારે આ ઘટનામાં કોર્પોરેશનના લાઈટ ખાતાના અધિકારીની સીધી જવાબદારી છે. શાહપુરની ઘટના બન્યાને ઘણો સમય થયો છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તાજેતરમાં જ નારોલ ખાતે જાહેર રોડ ઉપર વીજ કરંટથી દંપતીના મૃત્યુના કેસમાં નારોલ પોલીસ દ્વારા AMCના લાઈટ વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સહિત 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. નારોલની જેમ શાહપુરની ઘટનામાં પણ મધ્યઝોનના લાઈટ વિભાગના આસી. ઈજનેર, આસી. સિટી ઈજનેર, ડેપ્યુટી સિટી ઈજનેર અને એડિશનલ સિટી ઈજનેર (લાઈટ વિભાગ)ના આધિકારીઓની જવાબદારી બનતી હોવા છતાં તેમની સામે કાર્યવાહી કરાઈ નથી. જેથી જવાબદાર લાઈટ વિભાગના અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં વિવિધ રીતે થઈ રહી છે ત્યારે સુરત પણ આ ઉજવણીમાં પાછળ નથી. સુરતના એક ટેક્સટાઇલ વેપારીએ પીએમ મોદીના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. વેપારી પ્રવીણ ગુપ્તાએ કાપડ પર પ્રધાનમંત્રીનું વિશાળ પોર્ટ્રેટ અને એક વિશાળ તિરંગો તૈયાર કર્યો છે. આ અનોખી પહેલ પાછળનો હેતુ દેશભક્તિ અને કલાનું અદભુત સંયોજન દર્શાવવાનો હતો. પ્રવીણ ગુપ્તા અને તેમની ટીમે સતત 15 દિવસની મહેનત અને 20 કારીગરોની મદદથી આ ભવ્ય કૃતિઓ તૈયાર કરી છે. આ કારીગરોએ દિવસ-રાત કામ કરીને આ પ્રોજેક્ટને સાકાર કર્યો છે. આ બંને કલાકૃતિઓ તેમના કદ અને બનાવટ માટે અજોડ છેઆ કૃતિઓની વિશિષ્ટતા તેની વિશાળતામાં છે. તિરંગો 105 x 60 ફૂટ (35 x 20 મીટર)ના કાપડ પર તૈયાર કરવામાં આવ્યો છે, જે દેશનો સૌથી મોટો તિરંગો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે, પીએમ મોદીનું પોર્ટ્રેટ 105 x 90 ફૂટ (35 x 30 મીટર) ના કાપડ પર બનાવવામાં આવ્યું છે, જે પણ દેશનું સૌથી મોટું પોર્ટ્રેટ ગણાય છે. આ બંને કલાકૃતિઓ તેમના કદ અને બનાવટ માટે અજોડ છે. આ વિશાળ તિરંગો ખાસ કરીને ભારતીય મહિલા વર્લ્ડ કપની ટીમને અર્પણ કરવામાં આવશે, જે દેશ માટે ગૌરવની પળ બની રહેશે. આ દ્વારા મહિલા ખેલાડીઓના સમર્પણ અને સિદ્ધિઓને બિરદાવવામાં આવશે. આ ઉપરાંત, આ ઉજવણીના ભાગરૂપે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પણ એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જન્મદિવસની ઉજવણી માટે કેક પણ ખાસ આકર્ષણ બનશેઅહીં પીએમ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી માટે 75 કિલો અને 75 ઇંચ લાંબી એક ભવ્ય કેક તૈયાર કરવામાં આવી હતી. આ કેક પણ આ ઉજવણીનું એક ખાસ આકર્ષણ હતું. પ્રવીણ ગુપ્તા દ્વારા કરવામાં આવેલી આ અનોખી ઉજવણી સુરતના વેપારીઓની રચનાત્મકતા અને પ્રધાનમંત્રી પ્રત્યેના સન્માનને દર્શાવે છે. આ પ્રયાસો માત્ર એક જન્મદિવસની ઉજવણી નથી, પરંતુ દેશભક્તિ અને કલા દ્વારા રાષ્ટ્રીય ગૌરવને વ્યક્ત કરવાનો એક પ્રેરણાદાયક માર્ગ છે.
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં પાણીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ક્રાંતિજ્યોત અને નીલકંઠ પાર્ક સોસાયટીના રહીશોએ આજે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. મહેન્દ્રનગર ચોકડી અને ગામ પાસે બે અલગ-અલગ સ્થળે મહિલાઓએ રસ્તો બંધ કરી દીધો હતો. આ વિસ્તારમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળવાની ફરિયાદ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ ગ્રામ પંચાયત અને હવે મહાપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આંદોલનને કારણે અઢી કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. સ્કૂલેથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચારેય તરફ વાહનોની કતારો લાગી ગઈ હતી. આ ઘટના માત્ર મોરબી પૂરતી સીમિત નથી. સમગ્ર ગુજરાતમાં નવી સોસાયટીઓમાં બિલ્ડરો દ્વારા રોડ, લાઈટ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. બે દિવસ પહેલા જ મોરબી નજીકના ઘૂટું ગામની રામકો સોસાયટીના રહીશોએ પણ આવી જ રજૂઆત કરી હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા બી ડિવિઝન, એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક નિયમન માટે કાર્યવાહી હાથ ધરી હતી. મહાપાલિકાના ઇજનેર મકવાણા પિયુષએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ક્રાંતિજ્યોત સોસાયટીમાં પાણીનો પ્રશ્ન છે તેની રજૂઆત આવી હતી. જો કે, ત્યારે બે કલાક આ સોસાયટીમાં પાણી આપવામાં આવતું હતી, ત્યારે બાદ ત્રણ કલાક પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે, હજુ પણ પાણી પૂરતું આવતું નથી તેવી સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે, જેથી કરીને ઉપરથી વધુ પાણી મળે અને અહીના લોકોને પૂરતું પાણી માટે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી, જેથી ચક્કાજામના ખુલ્લો કરવામાં આવ્યો હતો.
વડોદરાના સમાચાર:એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજશે
આવતીકાલે યાત્રી સેવા દિવસને લઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વડોદરાના હરણી એરપોર્ટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડોદરા એરપોર્ટ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં એરપોર્ટ ડાયેક્ટર સહિત કર્મચારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહેશે. ગુજરાતના કલાત્મક વારસાની ઉજવણી માટે ટર્મિનલ પર જીવંત લોકનૃત્ય પ્રદર્શન યોજાશેવડોદરા એરપોર્ટ પર યોજાનાર યાત્રી સેવા દિવસ નિમિતે એરપોર્ટ પર આવનાર યાત્રિકોનું ટીકો અને આરતી ઉતારી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન સ્ટાફ, પેસેન્જર સહિત કેબ ડ્રાઈવર અને ઓટો ડ્રાઈવર સહિત જે કોઈ લોકો આવશે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે એરપોર્ટ પર પ્રાદેશિક વારસો દર્શાવતું પરંપરાગત લોકનૃત્ય ગુજરાતના કલાત્મક વારસાની ઉજવણી માટે ટર્મિનલ પર એક જીવંત લોકનૃત્ય પ્રદર્શન યોજાશે. આ સાંસ્કૃતિક પ્રદર્શન માત્ર મનોરંજન જ નહીં પરંતુ, મુલાકાતીઓને પ્રદેશની સમૃદ્ધ પરંપરાઓ અને સમુદાય ભાવના વિશે શિક્ષિત પણ કરશે. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલના બાળકો અને બોડી રોક ડાન્સ ગ્રુપ દ્વારા પર્ફોર્મ કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશેઆ સાથે સ્થાનિક શાળાના બાળકોને એરપોર્ટના શૈક્ષણિક પ્રવાસ માટે આવશે. જ્યાં તેઓ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. આ પહેલનો હેતુ ઉડ્ડયન વિશે જિજ્ઞાસા જગાડવા અને યુવા મનમાં સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવાનો છે, ભવિષ્યની આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમો સામૂહિક રીતે વડોદરા એરપોર્ટના આરોગ્ય, વારસો, આતિથ્ય અને પ્રકૃતિ સાથે સુમેળ પ્રત્યેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. સરકારી સ્કૂલમાંથી 100થી વધુ બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાશેઆ અંગે એરપોર્ટ ડાયરેક્ટર એમ.એસ. સઈદ દાઉદે જણાવ્યું હતું કે, અમારા મુખ્યાલય તરફથી અમને સૂચના આપવામાં આવી છે જે પ્રમાણે કાર્યક્રમ યોજાશે. તેમાં સવારથી રાત સુધી વડોદરા આવનારા અમારા બધા મુસાફરોને તિલક લગાવીને સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ આરોગ્ય માટે કેમ્પ યોજાશે. આ સાથે અમારો આરોગ્ય તપાસ રોટરી ક્લબ અને એરપોર્ટ ટીમ દ્વારા એકસાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તેમાં 100થી વધુ સ્ટાફ અને મુસાફરોનું રક્ત એકત્રિત કરવામાં આવશે. બાદમાં સરકારી સ્કૂલમાંથી 100થી વધુ બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાશે. આ સાથે ATS સંકુલના તમામ નિવૃત્ત સ્ટાફ અને વરિષ્ઠ નાગરિકોને દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે.
મિડલ ઈસ્ટના દેશોમાં ઈઝરાયલના કારણે પોલિટીકલ વાતાવરણ ગરમ છે. કતારમાં હમાસના નેતાઓ પર ઈઝરાયલે હુમલો કર્યો ત્યારથી ખાડી દેશો ગુસ્સામાં છે. અરબ અને ઈસ્લામિક 50 જેટલા દેશોએ ભેગા મળીને નક્કી કર્યું કે જે થાય તે જોયું જશે, હવે ઈઝરાયલને પાડી દેવું છે. કતારમાં તાબડતોબ ઈમરજન્સી મિટિંગ પણ મળી. જેમાં આરબ દેશોનું નાટો જેવું સંગઠન બનાવવાનું નક્કી થયું. બીજી તરફ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ઈઝરાયલની રાજધાની જેરૂસલેમ પહોંચ્યા છે અને નેતન્યાહૂ સાથે મિટિંગ કરી છે. નમસ્કાર, મિડલ ઈસ્ટમાં ઈઝરાયલે દિવાળી પહેલાં હોળી સળગાવી છે. કતાર પર હુમલો કરીને અરબ અને ઈસ્લામિક દેશોને એક થવા મજબૂર કરી દીધા છે. પાંચેક દેશોમાં લાખો લોકોનું સામૂહિક પ્રદર્શન, મિડલ ઈસ્ટમાં તણાવ, આ બધી ચાલ પણ અમેરિકાની હોઈ શકે. અમેરિકા અત્યારે દુનિયાનું ધ્યાન ટેરિફથી હટાવવા માગી રહ્યું હોય એવું લાગે છે. પણ મિડલ ઈસ્ટના દેશો ઈઝરાયલ-અમેરિકાની લુચ્ચાઈ સમજી ગયા છે. ઈઝરાયલે 72 કલાકમાં 6 દેશો પર હુમલા કર્યા ઈઝરાયલે મીડલ ઈસ્ટમાં હાહાકાર મચાવી દીધો છે. 72 કલાકમાં 6 દેશો પર હુમલા કર્યા છે જેમાં 200 લોકો માર્યા ગયા છે અને 1000થી વધારે ઘાયલ થયા છે. ઈઝરાયલનું કહેવું છે કે અમે જ્યાં જ્યાં હુમલા કર્યા ત્યાં આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલે ક્યા છ દેશ પર હુમલા કર્યા? ઈઝરાયલે આ દેશો પર કેમ હુમલા કર્યા? ઇઝરાયલે કહ્યું, આ ઓપરેશન આયર્ન સ્વોર્ડનો જ ભાગ છે. જેનો હેતુ હમાસને ખતમ કરવાનો છે. ઈઝરાયલના નિશાને બીજા ત્રણ દેશ ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ભૂતપૂર્વ વડા મોહસીન રાજાઈના મતે ઇઝરાયલના હવે પછીના ટાર્ગેટ સાઉદી અરેબિયા, તુર્કી અને ઈરાક હોઈ શકે છે. કારણ કે તુર્કી ખુલ્લેઆમ હમાસને સમર્થન આપે છે. કતાર અને સાઉદી અરબને બનતું નથી. આ બંને દેશો વચ્ચે વેર છે. જો કતાર અને સાઉદી અરબ વચ્ચે સંબંધો સુધરે છે તો નેતન્યાહૂ સાઉદી અરબ પર પણ હુમલા કરી શકે. ઈરાક પણ હમાસનું સમર્થક રહ્યું છે એટલે તે પણ ઈઝરાયલના ટાર્ગેટ પર છે. અરબ અને ઈસ્લામિક દેશોએ ઈમરજન્સી મિટિંગ બોલાવી ઈઝરાયલે 72 કલાકમાં જ 6 દેશો પર હુમલા કરી દેતાં મિડલ ઈસ્ટના દેશો ગુસ્સે ભરાયા છે. કતારની રાજધાની દોહામાં અરબ અને ઈસ્લામિક દેશોના વડાઓની ઈમરજન્સી મિટિંગ મળી હતી. અરબ અને ઈસ્લામિક દેશોના નેતા કતારમાં ભેગા થયા. કતારની ઈમરજન્સી મિટિંગમાં કોણ-કોણ હાજર હતું ઈમરજન્સી મિટિંગમાં ઈજિપ્તે મહત્વનો પ્રસ્તાવ મૂક્યો કતારના દોહામાં મળેલી મિટિંગમાં ઈજિપ્તે એક પ્રસ્તાવ મૂક્યો કે આપણે પણ નાટો જેવું સૈન્ય સંગઠન બનાવવું જોઈએ. જેની અધ્યક્ષતા અરબ લીગના 22 દેશોને વારાફરતી મળશે. જેમાં પહેલા અધ્યક્ષ ઈજિપ્તમાંથી હશે. ઈજિપ્તનો પ્રસ્તાવ શું છે? મિડલ ઈસ્ટમાં નાટો જેવું સંગઠન બની શકે? બને તો ટકી શકે? અરબ દેશો વચ્ચે નાટો જેવું સૈન્ય ગઠબંધન ઊભું કરવાનો વિચાર તો બહુ લાંબા સમયથી ચાલી રહ્યો છે પણ તેના અમલ માટે નિષ્ણાતો એકમત નહોતા. જામીયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર પ્રેમાનંદ મિશ્રા મીડલ ઈસ્ટના અભ્યાસુ છે. તેમણે કહ્યું કે 'અરબ નાટો'નો વિચાર પહેલા પણ ચાલ્યો હતો અને સાઉદી અરબે આના પર જોર આપ્યું હતું. ત્યાં સુધી કે પાકિસ્તાનના પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ રાહીલ શરીફને તેના અધ્યક્ષ બનાવાયા હતા પણ પછી મેળ પડ્યો નહોતો. દરેક દેશના સુરક્ષા હિતો અલગ અલગ છે એટલે તેમાં સહમતી બને તે મુશ્કેલ લાગે છે. શું સાઉદી અરબ અને ઈરાન મતભેદો ભૂલીને સાથે આવશે? કારણ કે સંયુક્ત સૈન્ય ગઠબંધન બનાવવું હોય તો ગુપ્ત વાતો પણ શેર કરવી પડશે. આ પ્રસ્તાવ ઈજિપ્ત તરફથી આવ્યો છે. જોવાનું એ રહેશે કે મીડલ ઈસ્ટના દેશો પશ્ચિમી દેશોની જેમ મજબૂત ગ્રુપ બનાવીને સાથે રહી શકશે કે કેમ. કારણ કે આમાં અમેરિકા અને નાટો બંને ફાચર પાડશે. મિડલ ઈસ્ટના મોટાભાગના દેશોમાં અમેરિકી એરબેઝ અને સૈન્ય મથકો છે એટલે અમેરિકા અરબ ફોજ નહિ ઊભી થવા દે અરબ અને ઈસ્લામિક દેશો વચ્ચેનું સૈન્ય સંગઠન અગાઉ પણ બન્યું હતું જે બગદાદ સંધિના નામથી જાણીતું હતું. આ પ્રકારનો પ્રસ્તાવ 2015માં આવ્યો હતો, જ્યારે યમનમાં ગૃહયુદ્ધ શરૂ જ થયું હતું અને હુતિ વિદ્રોહીઓએ સના પર કબજો કરી લીધો હતો. નાટો સંગઠન શું છે? નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન એટલે કે નાટોની સ્થાપના 4 એપ્રિલ, 1949એ બેલ્જિયમના બ્રસેલ્સમાં કરવામાં આવી હતી. તે યુરોપિયન અને ઉત્તર અમેરિકન દેશોનું લશ્કરી જોડાણ છે. તેનો હેતુ સોવિયેત યુનિયનના વધતા પ્રભાવનો સામનો કરવાનો હતો. નાટોના અનુચ્છેદ 5 મુજબ, જો કોઈ દેશ નાટો દેશ પર હુમલો કરે છે, તો બીજા બધા નાટો દેશો પર હુમલો કરાયેલો માનવામાં આવે છે. 76 વર્ષ પહેલાં રચાયેલું નાટો વિશ્વનું સૌથી મજબૂત લશ્કરી સંગઠન છે, જેમાં 33 દેશો મેમ્બર છે. જેમાં ભારત નથી. માર્કો રૂબિયો એકાએક ઈઝરાયલ કેમ પહોંચ્યા? અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અચાનક ઈઝરાયલની રાજધાની જેરૂસલેમ પહોંચ્યા હતા. તેમણે નેતન્યાહૂ સાથે બંધ બારણે બે કલાક મિટિંગ કરી હતી. એક વાત તો નક્કી જ છે કે અઠંગ ખેલાડી ટ્રમ્પે નક્કી કાંઈક સિક્રેટ ચિઠ્ઠી મોકલી હશે જે રૂબિયોએ નેતન્યાહૂને આપી હશે. કારણ કે માર્કો રૂબિયો સાથે મિટિંગ કર્યા પછી નેતન્યાહૂએ કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસના અત્યાર સુધીના સૌથી સારા મિત્ર છે. ઈઝરાયલ અને અમેરિકા આતંકવાદની સામે ઊભા છે. તો માર્કો રૂબિયોએ કહ્યું કે ગાઝામાં શાંતિ સ્થપાય તે માટે હમાસનો ખાતમો જરૂરી છે. હમાસ સાથે ડિપ્લોમસીથી મામલો ઉકેલી શકાય એવું લાગતું નથી. ગાઝામાં આગળ જે થવાનું છે તે થવાનું જ છે. હેતુ એટલો જ છે કે ગાઝામાં કેદ રહેલા બંધકોને મુક્ત કરવામાં આવે અને માર્યા ગયેલા બંધકોના મૃતદેહો સોંપવામાં આવે. 7 ઓક્ટોબર 2023એ હમાસે જે કર્યું તે બર્બરતા હતી. એ પછીની દરેક ઘટનાઓ હમાસની જ બર્બરતા છે. હમાસને હથિયારો સાથે રહેવા દેશું તો આ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા પર કાયમ જોખમ રહેશે. ગાઝાના લોકો એક સારા ભવિષ્યના હકદાર છે. છેલ્લે, એક અરબી કહેવત છે. ‘’જેણે તમારા પર ભરોસો કર્યો, તેની સાથે ક્યારેય વિશ્વાસઘાત ન કરો.’’ આ કહેવત ઈઝરાયલ અને અમેરિકા બંનેને બરાબર લાગૂ પડે છે. કારણ કે ઈઝરાયલે જ્યારે કતાર પર હુમલો કર્યો ત્યારે અમેરિકા આ વાત જાણતું હતું પણ કતારને સમયસર ચેતવ્યું નહિ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
સુરતની SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ ગોલ્ડ સ્મગલિંગના એક મોટા ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદથી સુરત આવેલા એક રત્નકલાકારની ધરપકડ કરી છે. તેની પાસેથી 239.5 ગ્રામ સોનાનો પાઉવડ કબજે કર્યો છે જેની કિંમત અંદાજે રૂ. 26.34 લાખ છે. આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે, આ રેકેટની માસ્ટરમાઇન્ડ સુરતની એક મહિલા છે. જે હાલ દુબઇમાં રહીને આ ગોરખધંધો ચલાવી રહી છે. આ ઘટનાએ એરપોર્ટ પર થતી આધુનિક દાણચોરીની પદ્ધતિનો પણ પર્દાફાશ કર્યો છે. સોનાના પ્રવાહીમાં કેમિકલ મિક્સ કરી મેટલ ડિટેક્ટથી બચાવતાઆરોપીઓએ એરપોર્ટના અત્યાધુનિક મેટલ ડિટેક્ટરને પણ ચકમો આપવા ગોલ્ડ સ્મગલિંગ માટે એક અનોખી અને અત્યંત જટિલ પદ્ધતિ અપનાવી હતી. આ રેકેટમાં સંકળાયેલા તત્વો દુબઇમાં જ સોનાને ઓગાળીને પ્રવાહીમાં રૂપાંતરિત કરી દેતા હતા. ત્યાર બાદ તેમાં ખાસ કેમિકલ 'એક્વા રિજિયા' મિક્સ કરવામાં આવતું હતું. ત્યાર બાદ સોનાના પ્રવાહીને ટ્રાવેલ બેગની બહારની બાજુએ આવેલા રેક્ઝીન અને રબરની શીટ વચ્ચે સ્પ્રે કરી એક નવું લેયર બનાવવામાં આવતું હતું. આ કેમિકલના કારણે મેટલ ડિટેક્ટર પણ ગોલ્ડ ડિટેક્ટ કરી શકતું નથી જેના કારણે કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગના ચેકિંગ દરમિયાન પણ તે સરળતાથી પસાર થઈ જતાં હતા. દુબઈથી આવતા રત્નકલાકાર ભાવિક કતારિયાને ઝડપી પાડ્યોઆરોપીઓ દુબઇથી આ રીતે તૈયાર કરેલી બેગ લઈને અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યા અને ત્યાંથી રેલવે મારફતે સોનાની ડિલિવરી આપવા સુરત આવી રહ્યા હતા. પરંતુ સુરત SOGના PI એ.પી. ચૌધરીને મળેલી સચોટ બાતમીના આધારે રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની નજીક વોચ ગોઠવીને દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરીને આવેલા આરોપી ભાવિક કતારિયા (ઉ.વ. 22, રહે. ડભોલી, સુરત)ને ઝડપી પાડ્યો હતો. જે રત્નકલાકાર છે. સમગ્ર રેકેટની માસ્ટર માઇન્ડ દુબઇમાં રહેતી નિરાલી રાજપૂતપોલીસ પૂછપરછમાં આ સમગ્ર રેકેટની માસ્ટર માઇન્ડ સુરતના વેસુની રહેવાસી નિરાલી રાજપૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે હાલ દુબઈમાં રહે છે. ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, નિરાલી દુબઈથી આ રેકેટ ચલાવે છે અને ભાવિક અને અક્રમ જેવા યુવકોને કેરિયર તરીકે ઉપયોગ કરતી હતી. આ રત્નકલાકાર ભાવિક પૈસાની લાલતમાં ગોલ્ડ સ્મગલિંગમાં કેરિયર બની ગયો હતો. દરેક ટ્રિપ માટે તેને રૂપિયા 15,000 થી 20,000 નું કમિશન મળતું હતું. એક કરોડના ગોલ્ડ સ્મગલિંગ પર 15 લાખનો ફાયદોડીસીપી નકુમે વધુમા જણાવ્યું હતું કે, આ રેકેટમાં માતબર કમાણી થતી હતી. જો આરોપીઓ એક કરોડ રૂપિયાના ગોલ્ડનું સ્મગલિંગ સફળતાપૂર્વક કરે તો તેમને અંદાજે 15 લાખનો ફાયદો થતો હતો. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ભાવિક કાતરિયા અગાઉ પણ 3 વખત દુબઇથી આજ રીતે ગોલ્ડ સ્મગલિંગ કરી ચૂક્યો છે. જેના માટે તે ખૂબ સાવધાનીપૂર્વક કામ કરતો હતો. જોકે, ભાવિક વિરૂદ્ધ અગાઉ કોઇ ગુનો દાખલ થયો નથી. આ ઉપરાંત આ કેસમાં સુરતના એક અમિત સોની પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જેની સામે અગાઉ પણ છેતરપિંડીનો ગુનો દાખલ છે. પોલીસે 26.34 લાખનું 239.5 ગ્રામ ગોલ્ડ જપ્ત કર્યુંપોલીસ દ્વારા અન્ય એક આરોપી અક્રમ અમદાવાદથી સીધો ભરૂચ ગયો હોવાથી પોલીસ હાલ તેની સઘન શોધખોળ કરી રહી છે. પોલીસે આરોપી ભાવિક કાતરિયા પાસેથી એક ટ્રોલીબેગની ઝીણવટભરી તપાસ કરતા તેના રેક્ઝીન નીચે છૂપાવેલું ગોલ્ડ લિક્વિડ ફોર્મ કબજે કર્યું હતું. જેનું વજન 239.5 ગ્રામ હતું અને તેની અંદાજે કિંમત રૂ. 26,34,500 હતી. આ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય વસ્તુ મળી કુલ 27,05,00નો મુદ્દામાલ કબજે કર્યો છે. SOGએ ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કરી ગુનો દાખલ કર્યોઆ સમગ્ર મામલે આરોપી ભાવિક કાતરિયા, દુબઇથી ગોલ્ડ મોકલનાર નિરાલી રાજપૂત અને સુરત મગાવનાર અમિત સોની અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસનો સફળતાપૂર્વક પર્દાફાસ કરીને સુરત SOGએ ગોલ્ડ સ્મગલિંગના ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ બાદ વધુ નવા ખુલાસા થવાની શક્યતા છે.
વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત બીજા તબક્કામાં સિંચાઇ વિભાગ દ્વારા આજવા સરોવરના હેઠવાસમા રૂપિયા 80 કરોડના ખર્ચે અત્યાધુનિક 25 દરવાજાવાળુ બેરેજ બનાવવામાં આવશે. આ કામગીરી માટે મંગાવવામાં આવેલા ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવ્યું છે. સરકારમાંથી મંજૂરી આવ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ ફેઝની કામગીરી 100 ટકા પૂરી હોવાનો એજન્સીઓનો દાવોઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આવેલા પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વડોદરા કોર્પોરેશન દ્વારા 24 કિલોમીટર અને સિંચાઇ વિભાગ દ્વારા 25 કિલોમીટર કામગીરી કરવાની હતી. બંને એજન્સી દ્વારા પ્રથમ ફેઝની કામગીરી સો ટકા પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 80 કરોડના ખર્ચે બેરેજની કામગીરીનું ટેન્ડર ખોલવામાં આવ્યુંવિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન પ્રોજેક્ટ અંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર રાહુલ ચૌહાણે જણાવ્યું કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત લાંબાગાળાની કામગીરીનાં ભાગરૂપેની કરવાની થતી કામગીરી અંતર્ગત રૂપિયા 80 કરોડના ખર્ચે આજવા બેરેજ બનાવવાની કામગીરીનું ટેન્ડર ખોલવામાં આવ્યું છે. જે મંજુરી પ્રક્રિયા હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી ડિસિલ્ટિંગ દરમિયાન નીકળેલ માટીનો જથ્થો આશરે 10,42,150 ઘનમીટર છે અને વિશ્વામિત્રી નદીમાંથી નીકળેલ માટી વડોદરા, કરજણ અને પાદરાના ગ્રામ પંચાયતોને તેઓની માંગણી મુજબ અલગ-અલગ જગ્યાઓ પર નાખી આપવામા આવી છે અને વધુમાં વિશ્વામિત્રી નદીની અંદર મગરનાં દરો જેવી જગ્યાઓ વન વિભાગ તેમજ વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ જળચર જીવનું ધ્યાન રાખીને છોડવામાં આવ્યા છે. ગુજરાત રાજય માનવ અધિકાર આયોગની નીમાયેલી કમીટી દ્વારા વિશ્વામિત્રી નદીની સમયાંતરે સ્થળ મુલાકાત કરી તેમના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરવામા આવી છે. કાંસોની સફાઈની કામગીરી અને ચેકડેમોની કામગીરી પૂર્ણવિશ્વામિત્રી નદીને મળતી કાંસોની સફાઈની કામગીરી બીલ-ચાપડ, વરણામા-ઢાઢર, વડસલા-ઇટોલા, હંસાપુરા-પાતરવેણી, રૂપારેલ કાંસ એમ મળી કુલ 14 કિ.મીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને જાંબુવા કોતર જેમાં કુલ 25 કિ.મીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ટુંકાગાળાનાં ભાગરૂપે વિશ્વામિત્રી નદી પર આવેલાં કુલ 6 ચેકડેમોની કામગીરી રૂપિયા 84 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે તેમજ પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કુલ 8 ચેકડેમોની કામગીરી રૂપિયા 118.17 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. ખલીપુર અને કારલી પાસે વિશ્વામિત્રી નદીમાં આપેલ સેકશન કરતા વધારે પહોળા સેકશન કરવાની કામગીરી કરવામાં આવી છે. મારેઠાથી પિંગલવાડા સુધી બુલેટ ટ્રેન દ્વારા વિવિધ 7 જગ્યાએ ડાયવર્ઝન કરીને વિશ્વામિત્રી નદી ક્રોસીંગ કરેલ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં દ્વારા આ દબાણો દુર કરવામા આવેલ છે.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સપ્ટેમ્બર-2025ને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત ડાંગ જિલ્લા પંચાયત કચેરીમાં એક મહત્વની બેઠક યોજાઈ. જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવાએ બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી. અમલીકરણ વિભાગોને ઉત્સાહપૂર્વક કાર્યક્રમો યોજવાની સૂચના આપવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગ નોડલ વિભાગ તરીકે કામગીરી કરશે. તેઓ પોષણ માહની ઉજવણી અને પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ કરશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. તબીયારે જણાવ્યું કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ યોજાશે. તેમાં તમામ વિભાગોએ સક્રિય ભાગ લેવો જરૂરી છે. બેઠકમાં પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સના પટેલ હાજર રહ્યા. જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ અને પંચાયત શાખા અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો.
રાજકોટ ક્રાઈમ બ્રાંચે એક મદારી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે, જેઓ વૃદ્ધોને નિશાન બનાવીને તેમની પાસેથી સોનાના દાગીના લૂંટી લેતા હતા. આ પકડાયેલા આરોપીઓની ઓળખ બહાદુરનાથ સુરમનાથ પરમાર અને દેવનાથ અજનાથ બામણિયા તરીકે થઈ છે. તેમની પાસેથી રૂ. 2,38,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગ વૃદ્ધોને જ ટાર્ગેટ બનાવતી હતી. તો પોલીસથી બચવા નંબરપ્લેટ વિનાની કાર રાખતી હતી. અને 30 વર્ષથી સાધના કરતા હોવાનું જણાવી વિશ્વાસ કેળવી સોનાના દાગીના પડાવી લેતા હતા. રાજકોટ શહેરમાં વૃદ્ધોને વાતોમાં વળગાવી લૂંટ આચરતી મદારી ગેંગના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લઈ મુદ્દામાલ રીકવર કર્યો છે. જેમાંથી એક વાંકાનેરનો બહાદુર દાસ સુરમનાથ પરમાર અને બીજો દેહગામનો દેવાનાથ અજાનાથ બામણિયા હોવાનું સામે આવ્યું છે. આ મદારી ગેંગ સફેદ કલરની વેગનઆર કારમાં આવી વૃદ્ધોને વાતોમાં વળગાડી લૂંટ આચરતી હતી. બે વૃદ્ધો પાસેથી રોકડ, દાગીના ઘડિયાળ, મોબાઈલની લૂંટ ચલાવનાર આ ગેંગનાં બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં આ ગેંગે 2 વૃદ્ધો પાસેથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. જેમાં પ્રથમ બનાવમાં અયોધ્યા ચોક પાસે આવેલ ડાયમંડ પાર્કમાં રહેતા 63 વર્ષીય પ્રફુલભાઈ નટવરલાલ વસાણી સવારે આઠેક વાગ્યાની આસપાસ વોકિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે ઘરથી થોડે આગળ પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી. જે કારમાં સાધુ જેવા લાગતા ત્રણ શખ્સો બેસેલા હતા. જેઓએ પ્રફુલભાઈને અટકાવીને હિન્દી ભાષામાં વાત કરતા પૂછ્યું હતું કે, હમ લોગ પ્રયાગરાજ કી ઓર સે આ રહે હે, ઓર હમે નજદીક મે કહી પે આશ્રમ હો તો વહા વિશ્રામ કરના હૈ, જેથી પ્રફુલભાઈ જણાવ્યું હતું કે, અહીં આશ્રમ તો નથી પણ માધાપર ચોકડી નજીક જામનગર રોડ પર એક ગૌશાળા આવેલ છે. સાધુ જેવા લાગતા શખ્સોએ કહ્યું હતું કે, હમે તો આશ્રમ પે હી જાના હૈ, જે વાતચીત દરમિયાન સાધુઓએ તેમનો ખરાબ ઈરાદો પાર પાડવા પ્રફુલભાઈ સાથે થોડી અંગત વાતો ચાલુ કરી હતી. દરમિયાન કહ્યું હતું કે, તુમ અચ્છે આદમી લગતે હો, તુમે સંતાનમે એક બેટા હૈ, જેથી પ્રફુલભાઈ ચકિત થઈ ગયા હતા. કેમ કે તેમને સંતાનમાં એક પુત્ર છે. જેથી તેઓ તેમની વાતમાં આવી ગયા હતા. જે બાદ સાધુએ કહ્યું કે, લો એ પાંચસો રૂપિયે રખો ઓર ગાયો કો ચારા ડાલ દેના ઔર જો બચ્ચે પૈસે તુમ્હારે પાસ રખના ક્યુ કી તુમ બહોત હી ભાગ્યશાળી વ્યક્તિ હો. જેથી પ્રફુલભાઈ તેની વાતમાં આવી ગયા હતા. જે બાદ સાધુએ તેમની પાસે પ્રથમ ઘડિયાળ બાદમાં મોબાઈલ માંગતા તેઓએ ઘડિયાળ અને મોબાઈલ આપી હતી. જેમાં સાધુઓએ તેમને પહેરે સોનાનો ચેન અને વીંટી જોવા માટે માંગ્યા હતા. જે પણ પ્રફુલભાઈ આપતા તેઓએ તે દાગીના પોતાના હાથમાં આવતા જ આરોપીઓએ પોતાની ગાડી ભગાડી મૂકી હતી જે બાદ પ્રફુલભાઈ તુરંત જ ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી બનાવની જાણ કરી હતી. ભોગ બનનાર વૃધ્ધ એસપી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં અને છેલ્લે તેઓ એસપીના પીએ તરીકે નિવૃત થયાં હતાં. બીજો બનાવ જંકશન પોલીસ ચોકી પાસે આવેલ ઓમ સુઝુકીના શોરૂમ પાસે બન્યો હતો. જેમાં રેલનગરમાં આવેલ શિવમ પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા 62 વર્ષીય પ્રીતમદાસ લાલચંદ ઘઘાડી વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે તેઓ જંકશન પોલીસ ચોકી પાસે પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી. જેમાં બેસેલ ત્રણ હિન્દી ભાષી શખ્સોએ તેમને આજીડેમ ચોકડી કઈ તરફ આવી હોવાનું પૂછ્યું હતું. જે અંગે વૃદ્ધે તેમને સરનામું બતાવ્યું હતું. જે બાદ તે કારમાં રહેલ શખ્સોએ તેમને પ્રથમ રૂ.500 આપી તુમ બહુત બડે ભાગ્યશાલી વ્યક્તિ હો ઉસકા ગાય કો ચારા ડાલ દેના કહી ફસાવ્યા હતા. અને બાદમાં તેમને પહેરેલ ચાર ગ્રામની વીંટી જોવા માટે માંગી હતી. જે બાદ વૃધે તે વીંટી આરોપીઓને આપતા જ તે શખ્સો વીંટી લઈ નાસી છૂટ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચનાં એસીપી ભરત બસીયાએ જણાવ્યું હતું કે, બનાવ અંગે ગાંધીગ્રામ અને પ્ર. નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જે અંગે પોલીસે જુદી-જુદી ટીમો સાથે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે મદારી ગેંગના બે સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં એક શખ્સ વાંકાનેરનો બહાદુર દાસ સુરમનાથ પરમાર અને બીજો દેહગામનો દેવાનાથ અજાનાથ બામણિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સોનાની બે વીંટી, સોનાનો ચેઇન અને વેગનઆર કાર સહિત રૂ. 2.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની મોડ્સ ઓપરેન્ડીપોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ ખાસ કરીને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતી હતી. તેઓ કારમાં ફરતા હતા અને કોઈ વૃદ્ધ વ્યક્તિને જોઈને પોતાની જાતને સાધુ તરીકે રજૂ કરતા. તેઓ 30 વર્ષથી સાધના કરતા હોવાનું અને અખાડા સાથે જોડાયેલા હોવાનું જણાવીને લોકોને વિશ્વાસમાં લેતા હતા. પછી મીઠી વાતો કરીને અને લાલચ આપીને ભોગ બનનારને ફસાવતા. તેઓ વૃદ્ધોને કહેતા કે તેમના દાગીના તેમને આપી દે, જેનાથી તેમનું 'વશીકરણ' અથવા 'જાદુ' કરી શકાય. એકવાર વૃદ્ધો દાગીના આપી દેતા, પછી તેઓ ત્યાંથી નીકળી જતા હતા. આ ગેંગ ખૂબ જ સાવધાનીપૂર્વક કામ કરતી હતી અને પોલીસથી બચવા માટે નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, મદારી ગેંગ માત્ર વૃદ્ધોને જ પોતાનો શિકાર બનાવતી હતી. અને 30 વર્ષથી સાધના કરતા હોવાનું જણાવી સોનાના દાગીના પડાવી લેતા હતા. તેમજ ભોગ બનનાર પોલીસ પાસે જવાનો છે તેની પણ જાણકારી હોવાથી હંમેશા પોલીસથી બચવા નંબરપ્લેટ વિનાની કાર રાખતા હતા. જોકે પોલીસે સીસીટીવી અને હ્યુમન રિસોર્સનાં આધારે બંને આરોપીઓને ઝડપી લીધા છે. હાલ બંને આરોપીઓ ઉપર પ્રનગર પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે, જેના આધારે વધુ તપાસ ચાલી રહી છે.
ગાંધીનગરમાં એક હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં કુબેરનગરના 62 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર-30 સર્કલ નજીકથી વેપારી બાઇક લઈને પસાર થઈ રહ્યાં હતા ત્યારે કોઈ અજાણ્યો વાહનચાલક બાઈકને ટક્કર મારીને નાસી ગયો હતો. આ અંગે સેકટર-21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યો વાહનચાલક બાઈકને ટક્કર મારીને ફરારઅમદાવાદના કુબેરનગર ભાર્ગવ સોસાયટી મકાન નંબર 157માં પરિવાર સાથે રહેતા 62 વર્ષીય વિષ્ણુભાઈ હરજીવનદાસ પટેલ માણસા પરબતપુરા ખાતે મકાનની સાઈટ ઉપર કામ કરવા આવતા જતા હતા. આજે સવારે પણ તેઓ બાઇક લઇને માણસા ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન સેક્ટર-30 સર્કલથી ઘ/7 સર્કલ તરફ આવતા પ્રેસ સર્કલ નજીક કોઇ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને બાઈકને ટકકર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વિષ્ણુભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયાં હતા. આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઇ હતી. આ બનાવની જાણ મૃતકના પત્ની જ્યોત્સાબેનને કરવાની આવી હતી. જેના પગલે પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે મૃતક વિષ્ણુભાઈના નાના ભાઈ ગોવિંદભાઈની ફરિયાદના આધારે સેક્ટર-21 પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં 22મી ઓક્ટોબરથી માતાજીની આરાધના સ્વરૂપ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેરમાં પ્રાચીન, અર્વાચીન અને શેરી ગરબી સહિત 678 ગરબાના આયોજનો થયા છે તેવામાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ગાઈડલાઈન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ દરેક ગરબા આયોજન સ્થળે સીસીટીવી કેમેરા તેમજ સ્વયંસેવકો રાખવાનું ફરજિયાત બનાવાયું છે. અસામાજિક તત્વો અને રોમિયો જેવા શખસો બહેનો અને દીકરીઓની છેડતી ન કરે તે માટે પોલીસની SHE ટીમ તૈનાત રહેશે. બ્લેક સ્પોટ પર પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે તો માઇક અને લાઉડ સ્પીકરનો સરકારે નિયત કરેલા નિયમ મુજબ જ ઉપયોગ કરવાનું જાહેર કરાયુ છે. કુલ 678 ગરબાનું આયોજન કરવામાં આવશેરાજકોટમાં નવરાત્રિના તહેવારને અનુલક્ષીને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતુ કે, 22મી ઓક્ટોબરથી નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં આ વખતે 32 અર્વાચીન, 73 પ્રાચીન અને 573 જેટલી શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ કુલ 678 ગરબાનું આયોજન કરવામાં આવશે. 1000 કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશેતેમણે જણાવ્યું કે, પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના નેતૃત્વ હેઠળ પોલીસ, હોમગાર્ડ અને SRPના 1000 કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. તમામ આયોજકોને ગરબાના આયોજનમાં સ્વયંસેવકો રાખવાના રહેશે. આ સાથે જ પૂરતી સંખ્યામાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સાથે એક ઇમર્જન્સી એક્ઝિટ ગેટ પણ રાખવાનો રહેશે. સામાજિક અને સાંપ્રદાયિક સૌહાર્દ ન બગડે તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશેઆ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગરબા આયોજકોને આયોજન સ્થળે અને ગેઇટ પર સીસીટીવી રાખવાના રહેશે અને તેના ફૂટેજ પણ સાચવવા ફરજિયાત છે. તમામ આયોજકોએ ગુજરાત સેફટી એક્ટની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. આયોજકોએ પાર્કિંગ માટે પૂરતી જગ્યા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. સરકારની ગાઈડલાઇન મુજબ માઈક અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે. નિયત સમય પછી માઈક વગાડવાનું રહેશે નહીં. સામાજિક અને સાંપ્રદાયિક સૌહાર્દ ન બગડે તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. શહેર પોલીસ વતી તમામ ખેલૈયાઓને નવરાત્રીની શુભેચ્છા આપી હતીશહેરના તમામ ગરબા આયોજકોના સ્થળોએ પોલીસનો બંદોબસ્ત તૈનાત રહેશે. આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ અને સરકારી વાહનો દ્વારા પોલીસનું પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે. આ ઉપરાંત અવાવરુ જગ્યામાં અઘટિત બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જ પોલીસની SHE ટીમ દ્વારા ગરબા આયોજનમાં અસામાજિક તત્વો અને રોમિયો જેવા શખ્સો દ્વારા બહેનો દીકરીઓની છેડતી કરવામાં ન આવે અને બહેનોની સુરક્ષા જળવાઈ તે માટે ખાસ મહિલા પોલીસનો બંદોબસ્ત રહેશે અને આ પ્રકારના તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. અંતમાં તેમણે રાજકોટ શહેર પોલીસ વતી તમામ ખેલૈયાઓને નવરાત્રીની શુભેચ્છા આપી હતી તો સાથે જ કાયદાનું પાલન કરવા માટેની સૂચના પણ આપી હતી. રાજકોટમાં નવરાત્રિનું આયોજન, ગરબા આયોજકો માટેના નિયમો, પોલીસની વ્યવસ્થા
નવરાત્રીના પાવન પર્વને ગણતરીના દિવસો બાકી છે. આધુનિક સમયમાં રંગબેરંગી અને ડિઝાઇનર ગરબા બજારમાં છવાયેલા છે. જોકે, બોટાદ જિલ્લામાં માટીના પરંપરાગત ગરબાની વિશેષ માંગ જોવા મળી રહી છે. બોટાદ શહેર અને ગઢડામાં કુંભાર પરિવારો પરંપરાગત ચાકડા પર માટીમાંથી સુંદર ગરબા બનાવે છે. કેટલાક કુંભાર પરિવારો માટીના ગરબાને રંગબેરંગી કલરથી સજાવે છે. આ ગરબાઓ લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. શહેરી વિસ્તારોમાં આ પરંપરા ઓછી થતી જાય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આજે પણ માટીના ગરબા ખરીદવાનું પસંદ કરે છે. લોકોનું માનવું છે કે માતાજીની પૂજા-અર્ચના માટે માટી સૌથી યોગ્ય માધ્યમ છે. બોટાદ અને ગઢડાના કુંભાર પરિવારો માટે નવરાત્રી માત્ર તહેવાર નહીં, પરંતુ આજીવિકાનું સાધન પણ છે. ગરબા બનાવતા પ્રજાપતિ મેરામ લખતરીયાના જણાવ્યા મુજબ, માટીમાંથી ભક્તિભાવથી બનાવેલા આ ગરબાઓની માંગ આજે પણ યથાવત છે. માટીના ગરબામાં માત્ર કલાકૃતિ જ નહીં, પરંતુ એમાં મૂકાતો દીવો, માતાજીની આરાધનાની ભાવના અને આપણી સાંસ્કૃતિક વિરાસત સમાયેલી છે.
દ્વારકા જિલ્લામાં અલગ-અલગ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. ઓખામાં 28 વર્ષીય દરજી હસમુખભાઈ ઝાખરીયા સાથે થયેલી બોલાચાલીમાં સદામ અલી ચાવડા અને રિયાઝ સાલેમામદ ચૌહાણે બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે. ખંભાળિયામાં પોલીસે રેલવે સ્ટેશન રોડ પર દરોડો પાડી રાજ નરોત્તમ નકુમના મકાનમાંથી છ વ્યક્તિઓને જુગાર રમતા ઝડપ્યા હતા. પોલીસે રૂ. 31,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મીઠાપુર પોલીસે આરંભડા સીમ વિસ્તારમાંથી પાંચ વ્યક્તિઓને રોનપોલીસ નામનો જુગાર રમતા પકડ્યા હતા. તેમની પાસેથી રૂ. 17,080નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વરવાળા ગામમાં એસ.ઓ.જી. પોલીસે 60 વર્ષીય ઈમ્તિયાઝ રહેમાન કાઝીને માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા પકડી પાડ્યા હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇ-વે ઉપર તરસાલી બાયપાસ બ્રિજથી આગળ અકસ્માતની ઘટના બની હતી. અમદાવાદ પાર્સિંગની ટ્રક રોડ ઉપર પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગે ભટકાતાં ચાલકનું કેબિનમાં કચડાઈ જતા ઘટના સ્થળે મોત થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ કટર મશીનથી મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. મહારાષ્ટ્રના ટ્રકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયુંમળેલી માહિતી પ્રમાણે શહેરના તરસાલી બાયપાસ બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. તરસાલી બ્રિજ ઉપરના સુરત તરફ જવાના માર્ગે આવેલી ગોપાલ કૃષ્ણા હોટલ પાસે એક ટ્રકના ચાલકે પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવીને હાઇવે પર ઉભેલી અન્ય ટ્રકના પાછળના ભાગે અથડાતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. જેને ગંભીર ઈજા પહોંચવાના કારણે મહારાષ્ટ્રના ટ્રકચાલક 43 વર્ષીય હારુન શેખનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે ફાયબ્રિગેડના જવાનો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વન વિભાગની કાર્યવાહી:સાયલાના જુના જસાપર જંગલમાંથી બ્લેક ટ્રેપના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે જુના જસાપર જંગલ વિસ્તારમાંથી ગેરકાયદે બ્લેક ટ્રેપ અને રેફાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. નાયબ વન સંરક્ષક તુષારકુમાર પટેલ અને મદદનીશ વન સંરક્ષક સ્વપ્નીલકુમાર પટેલની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુળી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જસવંતભાઈ ગાંગડિયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન જુના જસાપર ગામના જંગલ વિસ્તારમાંથી બ્લેકટ્રેપ અને રેફાનો સ્ટોક મળી આવ્યો હતો. રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર પ્રવિણસિંહ ચૌહાણ અને વન રક્ષકો હીનાબેન પરમાર, નવલસિંહ ગોહિલ, વીરસંગભાઈ કાગડિયા અને મેરાભાઈએ સ્થળ તપાસ કરી હતી. તપાસમાં ચોરવીરા ગામના પ્રવિણભાઇ ભોજભાઈ ખાચર અને વડીયા ગામના પંકજભાઈ દેવશીભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ 1927ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સાયલા પ્રવીણસિંહ ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.
અમરેલી તાલુકાના શેડુભાર ગામમાં એક દુःખદ ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતો અભય વિનોદભાઈ તેના ચાર મિત્રો સાથે સ્થાનિક ઠેબી નદીમાં નહાવા ગયો હતો. નહાવા દરમિયાન અભય પાણીમાં ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોને જાણ થતાં તરત જ ગ્રામજનો અને આસપાસના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. મોડી સાંજે અભયનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પરિવારજનોના નિવેદન લીધા છે અને અકસ્માત મોતની એડી નોંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલતે 78 વર્ષીય આરોપીને 10 વર્ષની સખત કેદ અને 60 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે પીડિત બાળકીને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વૃદ્ધે ચોકલેટના બહાને બાળકી સાથે અડપલા કર્યા હતાકેસને વિગતે જોતા, આરોપી સામે વર્ષ 2023માં દરિયાપુર પોલીસ મથકે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાળકીની માતાએ નોંધાવી હતી. જેમાં 7 વર્ષીય બાળકીને તેની માતાએ કરિયાણાની દુકાને કેટલીક વસ્તુઓ લેવા માટે મોકલી હતી. ત્યારે વૃદ્ધે તેને પોતાની પાસે બોલાવીને ચોકલેટ લાવવા માટે જણાવ્યું હતું. બાળકી જ્યારે ચોકલેટ લઈને પરત ફરી અને તે વૃદ્ધને આપવા ગઈ, ત્યારે વૃદ્ધે તેને ઘરમાં બોલાવીને દરવાજો બંધ કરી દીધો હતો. ગભરાયેલી બાળકીએ માતાને હકીકત જણાવી હતીત્યારબાદ વૃદ્ધે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. પરંતુ ઘરમાં કોઈના આવવાનો અવાજ આવતા દરવાજો ખોલીને બાળકીને જવા દીધી હતી. બાળકી ઘરે પહોંચી ત્યારે તે ગભરાયેલી હતી, જેથી તેની માતાએ તેને પૂછતા તેને સઘળી હકીકત જણાવી દીધી હતી. જજ એ.બી.ભટ્ટે સરકારે વકીલ કે.જી.જૈનની દલીલો, 10 સાહેદ અને 9 પુરાવાને ધ્યાને રાખીને આરોપીને 10 વર્ષ કેદની સજા ફરમાવતા નોંધ્યું હતું કે, આવા આરોપીને સજા કરવી જરૂરી છે, નહીંતર સમાજમાં આવા તત્વોને ઉત્તેજન મળે છે.
અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં એક યુવતી પર જીવલેણ હુમલો થયો છે. 24 વર્ષીય યુવતી પર એક યુવકે છરી વડે હુમલો કર્યો હતો. યુવકે યુવતીના ગળાના ભાગે છરી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીની હાલત ગંભીરઘટનાની જાણ થતાં અમરેલી સીટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો પ્રેમસંબંધના કારણે થયો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરીડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ આરોપીની ધરપકડ માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ પ્રેમસંબંધ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. વાપીમાં યુવક-યુવતીની હત્યા બીજી તરફ આજે વલસાડ જિલ્લાના વાપીમાં એક યુવક અને યુવતીની હત્યા કરવામાં આવી છે. યુવક અને યુવતી બન્ને વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન યુવતીનો એક ઓળખીતો શખસ આવી પહોંચ્યો હતો. તે દરમિયાન બોલાચાલી શતા તે શખસે આ યુવક પર ચપ્પુના અનેક ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. તેમજ આ ઘટનામાં યુવતીને પણ ઈજા થઇ હતી. જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો...
આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે PM મોદી 75 વર્ષ પૂર્ણ કરી 76માં વર્ષમાં પ્રવેશ કરવાના છે. જેને લઇને અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત મ્યુનિસિપલ શાળાના ધો. 4થી 8ના એક લાખ વિદ્યાર્થીઓ PM મોદીને પોસ્ટ કાર્ડ લખીને જન્મદિવસની શુભેચ્છા પાઠવશે. જેના વાલીઓ પણ સાક્ષી બનશે.
સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલા દ્વારા દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સળગાવવાનો મામલો સામે આવ્યો છે. 37 વર્ષીય મહિલા ભાન ભૂલી રાષ્ટ્રધ્વજને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ મામલે અમરોલી પોલીસે તાત્કાલિક જ મહિલાની ધરપકડ કરી તેની શાન ઠેકાણે લાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે આ વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે તે મહિલાને જાણ હતી અને વીડિયો બનાવનારે તેને આવું ન કરવા પણ સમજાવી હતી. જોકે મહિલા સમજી ન હતી. વીડિયો વાઇરલ થતાં પોલીસની કાર્યવાહીસુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલાએ રાષ્ટ્રધ્વજ તિરંગાને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ મામલે અમરોલી પોલીસ દ્વારા તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર સોની શંભુભાઇ જયપ્રકાશ ઠઠેરા (ઉં.વ.37, રહે. ઘર નં.204, તપોવન એપાર્ટમેન્ટ, શિવાજીપાર્ક સોસાયટી, તારવાડી અમરોલી, સુરત શહેર મુળવતન-ગામ-મેદાગીન, ધારાનગર થાના-મઢુઆડી તા.જી.વારાણસી (ઉત્તરપ્રદેશ))ની ધરપકડ કરવામાં આવી છે. મહિલા વિરુદ્ધ ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ હોનર 1971 ની કલમ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વીડિયો બનાવનારે પણ મહિલાને ટોકી હતી15 સપ્ટેમ્બર, 2025ના રોજ મહિલા સોની જે અમરોલી તારવાડી વિસ્તારમાં રહે છે તેને પોતાના એપાર્ટમેન્ટની નીચે દેશના રાષ્ટ્રધ્વજને જાહેરમાં સળગાવી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું. જ્યારે આ વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે તે મહિલાને જાણ હતી અને વીડિયો બનાવનારે તેને આવું ન કરવા પણ સમજાવી હતી. જોકે, મહિલા સમજી ન હતી. જે વીડિયો વાઇરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહિલાઓએ પણ આવું ન કરવા કહ્યુંવાઇરલ વીડિયો પ્રમાણે, મહિલા પહેલા ઝંડા ઊંચા રહે હમારા કહીને ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સળગાવે છે. તે દરમિયાન વીડિયો બનાવનારે તું કેમ રાષ્ટ્રધ્વજ સળગાવે છે? તે પ્રકારનો સવાલ પણ કર્યો હતો. આ સાથે જ અન્ય મહિલાઓએ પણ તેને રાષ્ટ્રધ્વજ ન સળગાવવા માટે સમજાવી હતી. જોકે તેણે કહ્યું હતું કે, હજુ રાષ્ટ્રધ્વજ સળગવાનો બાકી છે. દરમિયાન એક મહિલા તેની પાસેથી રાષ્ટ્રધ્વજ લેવા માટે પણ ગઈ હતી. જો કે, તે જતી રહી હતી.
સુરત રેંજની સાઇબર ક્રાઇમ ટીમે ભિલાડ હાઇવે પર આવેલી હોટેલ ક્રિસ્ટલ ઇનમાં મોટી કાર્યવાહી કરી છે. મળેલી બાતમીના આધારે ટીમે હોટેલના ચોથા માળે ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં બે મહિલા સહિત 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. સંચાલકોએ હોટેલના ચોથા માળે રૂમ ભાડે રાખ્યો હતો. અહીં કામ કરતા બિન-ગુજરાતી કર્મચારીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કોલ સેન્ટરના કર્મચારીઓ વિદેશી નાગરિકોનો સંપર્ક કરી લોભામણી સ્કીમોની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા. સાઇબર ક્રાઇમ ટીમે સ્થળ પરથી લેપટોપ, કોમ્પ્યુટર અને અન્ય મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. કોલ સેન્ટરમાં વિદેશના લોકો સાથે વાત કરવા માટે ઇન્ટરનેટ સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
'ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થતા નહોતી સ્વીકારી', પાકિસ્તાનની કબૂલાતથી ટ્રમ્પના દાવાની પોલ ખુલી
India Won't Accept Third-Party Mediation: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરાવી હોવાનો દાવો હવે પોકળ સાબિત થયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સ્વીકાર્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધ વિરામનો પ્રસ્તાવ અમેરિકાના માધ્યમથી આવ્યો હતો પરંતુ ભારત સહમત થયું ન હતું. એક કાર્યક્રમ દરમિયાન ઈશાક ડારે જાહેરમાં સ્વીકાર્યું હતું કે, ભારત ક્યારેય પણ કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી માટે સહમત થયું ન હતું. જ્યારે પાકિસ્તાને અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોને ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી વિશે પૂછ્યું હતું, ત્યારે રુબિયોએ સ્પષ્ટપણે કહ્યું કે, ભારત હંમેશાથી કહેતું આવ્યું છે કે, આ એક દ્વિપક્ષીય મુદ્દો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે આણંદ શહેર અને જિલ્લામાં 8 તાલુકાઓ ખાતે કર્મચારી મહામંડળ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર દરમિયાન 1221 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ શિબિરોમાં જિલ્લા ભરના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઇ પટેલ, પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ બિપિનચંદ્ર પટેલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કેતનભાઇ પટેલ સહિત મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટય કરી રક્તદાન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરિયમ હોલ તથા સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરની ભાઈકાકા લાઇબ્રેરી ખાતે ૪૭૪, ખંભાતમાં એસ.જી.વાઘેલા હાઇસ્કુલ ખાતે ૧૭૮, પેટલાદમાં ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે ૨૨૭, તારાપુરમાં એસ.જે. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ૮૧, બોરસદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ૧૨૧, આંકલાવના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ૫૫ તથા ઉમરેઠમાં સુંદલપુરા રોડ પર આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે ૮૫ મળીને કુલ ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ પટેલે પણ આણંદ ખાતે રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. આણંદ જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા નમો કે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન નમો કે નામ અભિયાનમાં ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક, બિન શૈક્ષણિક કર્મચારી મહામંડળ, સહિત નગરજનોએ રક્તદાન કરીને પોતાનો સહયોગ આપ્યો હતો.
ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી શરૂ થયેલા વરસાદે સમગ્ર જિલ્લામાં શીતલહેર પ્રસરી દીધી છે. ખાસ કરીને સાપુતારા વિસ્તારમાં સતત વરસતા વરસાદ અને ગાઢ ધુમ્મસ છવાતા કુદરતી દ્રશ્યો એટલા અદ્ભુત બન્યા છે કે કુદરતપ્રેમી પ્રવાસીઓએ અહીંની મુલાકાત લેવી શરૂ કરી છે. ધુમ્મસની ચાદર ઓઢેલા પહાડો, ઝરણાંઓમાંથી પટાપટ વહેતા ઝરણાં અને હરિયાળીથી છલકાતા જંગલો ડાંગનું સૌંદર્ય અનેકગણી વધારી રહ્યા છે. વરસાદના કારણે ડાંગની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા જેવી નદીઓ જીવન્ત બની ગઈ છે. પાણીના વધારા સાથે જ ભૂગર્ભ જળસ્તર ઊંચુ થવાની સંભાવના વધી છે, જે આગામી મહિનાઓમાં પીવાના પાણી અને ખેતી માટે આશીર્વાદરૂપ બનશે. ખેતી માટે આ વરસાદ જીવતદાન સમાન સાબિત થયો છે. ખાસ કરીને ડાંગના મુખ્ય પાકો – ડાંગર, નાગલી અને કઠોળ માટે પૂરતું પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૂકા પડવાની ભીતિ ધરાવતા ખેડૂતોએ હવે નિશ્વાસનો શ્વાસ લીધો છે. ડાંગના સાપુતારા, આહવા, વઘઇ અને સુબીર જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વચ્ચે કુદરતી સૌંદર્ય માણવા સ્થાનિકો ઉપરાંત પરપ્રાંતીય પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગાઢ ધુમ્મસ, ઠંડકભરેલું વાતાવરણ અને કુદરતી ઝરણાઓનું સંગીત પ્રવાસીઓને અનોખો અનુભવ આપી રહ્યું છે. કુલ મળીને, વરસાદે ડાંગમાં માત્ર કુદરતનું સૌંદર્ય ખીલવ્યું નથી, પરંતુ ખેડૂતોને નવી આશા આપી છે. એક તરફ હરિયાળીથી છલકાતી ધરતી સૌંદર્યનો આનંદ આપે છે, તો બીજી તરફ ખેતરોમાં ઉભેલા પાકોને નવી જાન મળી છે. વરસાદે ડાંગને સાચા અર્થમાં જીવંત કરી દીધો છે.
વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની સભામાં બળાપો કાઢતા ખેડૂતોને વીડિયો વાઈરલ થયો છે. આપ દ્વારા હાલ ઘેડ બચાવો પદયાત્રા કાઢવામાં આવી છે. આ પદયાત્રા સોમવારે બાલાગામમાં પહોંચી હતી ત્યારે પ્રકાશ જલુ નામના ખેડૂતે ઘેડમાં આવતા દૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતે ઈટાલિયાને કહ્યું કે, તમે સંકલન સમિતિમાં 45 પ્રશ્નો મૂક્યા પણ તેમાં કેમિકલનો એકપણ મુદ્દો નથી. ખેડૂતે ટોણો મારતા કહ્યું કે, હું પાંચ હજાર રૂપિયા લઈને પ્રશ્ન પૂછતો નથી. ધારાસભ્યને પ્રશ્ન પૂછવાના અને ન પૂછવાના પૈસા મળે છે તેની મને ખબર છે. ખેડૂત ત્રણથી ચાર મિનિટ સુધી માઈકમાં પોતાની રજૂઆત કરતો રહ્યો હતો તો બીજી તરફ ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ સહિત આપના નેતાઓ તેને સાંભળતા રહ્યા હતા. ઘેડમાં પાણી નહીં કેમિકલ મારે છે- ખેડૂતઆમ આદમી પાર્ટીની ઘેડ બચાવો પદયાત્રા હાલ ચાલી રહી છે. સોમવારે આ યાત્રા ઘેડ પંથકના બાલાગામમાં પહોંચી હતી. અહીં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ સહિતના નેતાઓ ખેડૂતોને સંબોધી રહ્યા હતા ત્યારે જ ઉભા થયેલા એક ખેડૂતે માઈક લઈને ઈટાલિયા સહિતના નેતાઓને સવાલો પૂછ્યા હતા. ખેડૂતો સીધો જ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઘેડમાં વરસાદી પાણીથી જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી વધુ નુકસાન નદીમાં જે કેમિકલયુક્ત પાણી ઠલવાઈ રહ્યું છે તેના કારણે થઈ રહ્યું છે. ખેડૂતનો ટોણો- 'હું 5000 લઈને સવાલ નથી પૂછતો'પ્રકાશ જલુ નામના ખેડૂતો ઈટાલિયાને કહ્યું કે, હું પાંચ હજાર રૂપિયા લઈને પ્રશ્ન નથી પૂછતો. બાકી ધારાસભ્ય પ્રશ્ન પૂછવાના અને ન પૂછવાના પૈસા લે છે તેની મને ખબર છે. 'તમે 45 મુદ્દા સંકલ સમિતિ સમક્ષ મૂક્યા પણ કેમિકલનો મુદ્દો ન મૂક્યો'ખેડૂતે ઈટાલિયાને કહ્યું કે, તમે સંકલન સમિતિ સમક્ષ 45 મુદ્દાઓ મૂક્યા છે. જેમાં એકપણ મુદ્દો કેમિકલનો નથી. કેમિકલયુક્ત પાણીની ક્યાંય વાત થતી નથી. હું તમને ગામના નામ આપું. તમારા વિસ્તારના ગામમાં ઘાટ છે ત્યાંથી આ પાણી ઉબેણ અને ત્યાંથી ઓજતમાં આવે છે. 'યાત્રા લઈને નીકળો તો પ્રશ્ન થાય'ખેડૂત જ્યારે સવાલ કરવા ઉભા થયા ત્યારે અન્ય કેટલાક ખેડૂતોએ ભાજપને સવાલ કરવાની વાત કરતા પ્રકાશ જલુએ આપના નેતાઓને કહ્યું હતું કે, યાત્રા લઈને નીકળો તો પ્રશ્ન તો થાય. હું ભાજપ, કોંગ્રેસ કે આપમાં નથી હું એક ખેડૂત છું. આપના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓના વખાણ કર્યાખેડૂતે કહ્યું- ઘેડનો મુદ્દો ઉઠાવનાર પાલ આંબલિયા છે. શક્તિસિંહ ગોહિલ પણ રાજ્યસભામાં મુ્દદો ઉઠાવ્યો છે. ગોપાલભાઈ લાલપાણી મારી નાખે છે. આ તમારા વિસ્તારનું પાણી છે તમારે સ્વીકારવું પડશે અને મુદ્દો ઉઠાવવો પડશે. તમે લાલપાણીનો મુદ્દો ક્યાં ઉઠાવશો? આ સમાચાર પણ વાંચોઃ 'હું 10 હજાર આપું... પાટીલ-સંઘવીને પ્રશ્નો પૂછો'ગોપાલ ઇટાલિયાની જાહેરસભા દરમિયાન એક યુવાન પંજાબમાં AAPની સરકાર હોવા છતાં ખરાબ રસ્તાને લઈ પ્રશ્ન પૂછવા ઊભો થતાં ગોપાલ ઇટાલિયાએ વળતાં જવાબમાં કહ્યું, ભાજપ 5000 આપીને લોકોને તેમની સભામાં પ્રશ્નો પૂછવા મોકલે છે. જાઓ હું તમને 10000 આપું... હિંમત હોય તો સી. આર. પાટીલ કે હર્ષ સંઘવીને પ્રશ્નો પૂછીને બતાવો. યુવાને પંજાબના રસ્તાઓ વિશે સવાલ ઉઠાવતા યુવાનને ઈટાલિયાએ વિરોધી જૂથનો ગણાવતાં કહ્યું, લોકોને ગુજરાતમાં પડેલા ખાડા નથી દેખાતા અને 5000 કિમી દૂર પંજાબના ખાડા દેખાય છે. અહીંની સરકારને સવાલ પૂછવાની કોઈ હિંમત નહીં કરી શકે. હિંમત કરશે તો પોલીસ દંડા મારી જેલમાં પૂરી દેશે. મોરબીમાં કેજરીવાલ વિશે સવાલ પૂછતાં ઝાપટ પડી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગઈકાલે (4 ઓગસ્ટ) મોરબીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવાનને કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવા બદલ AAPના જ એક કાર્યકર્તા દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. એને લઇ સભામાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ત્યારે પીડિત શખસે મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ માટે અરજી કરી હતી. જેને આધારે પોલીસે લાફો મારનાર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. દરમિયાન મોરબી આપ પ્રભારીએ દાવો કર્યો છે કે જે વ્યક્તિએ તેને લાફો માર્યો હતો, તે આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર કે કાર્યકર્તા નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
નવસારી જિલ્લામાં વેસ્મા ગામે થયેલી ચેઈન સ્નેચિંગની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. 16 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 9.45 વાગ્યે વેસ્મા ગામ ચાર રસ્તા પાસે આવેલા સાલેજી પેટ્રોલ પંપ પર એક ઘટના બની હતી. પેટ્રોલ ભરાવતી મહિલાના ગળામાંથી કાળા રંગની નંબર વિનાની પલ્સર બાઇક પર આવેલા બે શખ્સો 1.25 તોલાનું સોનાનું મંગળસૂત્ર છીનવીને ભાગી ગયા હતા. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. સીસીટીવી ફૂટેજની તપાસમાં આરોપીઓ મુંબઇ તરફ જતા હોવાનું જણાયું હતું, જેથી પોલીસ દ્વારા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. ગણદેવી ખારેલ વિસ્તારમાં પોલીસે શંકાસ્પદ બાઇક જોઈ હતી. પોલીસની ખાનગી કારે બાઇકને ટક્કર મારતાં બંને આરોપીઓ રોડ પર પટકાયા હતા. એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. બીજો આરોપી નજીકની વાડીમાં આવેલી ગટરમાં સંતાઈ ગયો. જોકે, થોડા સમય બાદ શ્વાસ લેવા માટે તેણે છબછબિયા કરતાં અવાજથી પોલીસને શંકા ગઈ અને બીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ મહારાષ્ટ્રમાં મકોકા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. નવસારી જિલ્લા પોલીસની LCB, રૂરલ અને ગણદેવી પોલીસની સંયુક્ત કામગીરીથી આ સફળતા મળી છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTVની મદદથી આ કેસ ઝડપથી ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાનું મંગળસૂત્ર તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી પલ્સર મોટરસાયકલ જપ્ત કરી છે. મહત્વનું છે કે અતીક મુબીન અંસારી સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 46 ગુના, જ્યારે સાજીદ અબ્દુલ અજીજ શેખ સામે 24 ગુના નોંધાયેલા છે. બંને આરોપીઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર રાષ્ટ્રવ્યાપી સ્વચ્છોત્સવ અંતર્ગત ભરૂચમાં સ્વચ્છતા હી સેવા પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કલેક્ટરે જણાવ્યું કે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જનભાગીદારી સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. નગરપાલિકા વિસ્તારોમાં નદી-તળાવ, નાળા, બસ સ્ટેશન અને જાહેર પાર્કિંગની સફાઈ કરવામાં આવશે. ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, ફૂટપાથ અને ધોરીમાર્ગોની સઘન સાફ-સફાઈ કરાશે. સરકારી કચેરીઓમાં ઈ-વેસ્ટ અને ભંગારનો નિકાલ કરાશે. જૂના વાહનોની હરાજી કરવામાં આવશે. એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ શ્રમદાન દિવસની ઉજવણી થશે. શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોમાં સફાઈ અભિયાન અને સ્પર્ધાઓનું આયોજન થશે. 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાધલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે માતાના મઢ જતા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે પદયાત્રી સેવા કેમ્પ શરૂ કર્યો છે. પોલીસ અધિક્ષક ગાંધીધામે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. કેમ્પમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમાં ચા, કોફી, બિસ્કિટ, ફળ, છાસ, લીંબુ પાણી અને ગાંઠિયા-મરચાંનો સમાવેશ થાય છે. પીવાના મિનરલ પાણીની વ્યવસ્થા છે. સ્ત્રી-પુરુષો માટે અલગ-અલગ સ્નાન અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ સ્ટાફ સાથે દવાઓની સુવિધા પણ ઉપલબ્ધ છે. કેમ્પમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર અને ડીવાયએસપી ભચાઉએ જાતે યાત્રાળુઓને ફળ અને છાસનું વિતરણ કર્યું હતું. યાત્રાળુઓની સલામતી માટે તેમના સામાન પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. કેમ્પનું આયોજન પીઆઇ વી.કે. ગઢવી અને સ્ટાફે સંભાળ્યું હતું. સ્થાનિક લોકો પણ સેવામાં સહયોગ આપી રહ્યા છે. આશ્વિન નવરાત્રિ પહેલાં કચ્છના પ્રવેશદ્વાર સમાન સામખીયાળીથી જિલ્લાની છેવાડે આવેલા માતાના મઢ મંદિરે માં આશાપુરા માતાજીના દર્શન માટે હજારો પદયાત્રીઓ જાય છે.
ગત ઓગસ્ટ મહિનામાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે દ્વારા ઘાટલોડિયા પોલીસ મથકે અલ્હાબાદમાં રહેતા તેમની પત્ની અને સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ, તેમની પત્ની સંપૂર્ણ સ્ત્રી નથી, છત્તા ફરિયાદી સાથે લગ્ન કરીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. જેને હનીમૂનમાં ફરિયાદીને સફેદ પાઉડર જેવું કેફી દ્રવ્ય ખોરાકમાં પીવડાવીને 11 લાખ પડાવી લીધા હતા. સાસરીયાઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદ રદ્દ કરવા આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, બંને પરિવાર વચ્ચે સમાધાન થયું છે. આમ હાઇકોર્ટે આ ફરિયાદ રદ્દ કરી હતી. ફરિયાદીના પ્રયાગરાજમાં સગાઈ થઈ હતીકેસને વિગતે જોતે, વ્રજેન્દ્ર પ્રસાદે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના દાદા અમદાવાદના નારણપુરા ખાતે આવેલા સ્વામિનારાયણ મ્યુઝિયમમાં બેસતા હતા, જ્યાં તેમની મુલાકાત શશીકાંત તિવારી સાથે થઈ હતી. તેઓએ પોતાની ઓળખાણ ઉત્તર પ્રદેશના બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે આપી હતી. તેઓએ ફરિયાદીના લગ્ન ઉતર પ્રદેશમાં રહેતી એક યુવતી સાથે કરવા પ્રસ્તાવ મુક્યો હતો. જેને બંને પરિવારોએ સ્વીકાર કરીને વર્ષ 2024માં પ્રયાગરાજમાં સગાઈ કરવામાં આવી હતી, જેના ત્રણ મહિના બાદ લગ્ન કરવામાં આવ્યા હતા. પત્ની ભોજનમાં સફેદ પાઉડર ભેળવતાની ફરિયાદીને જાણ થઈ હતીબંને પતિ-પત્ની હનીમૂન માટે બાલી ગયા હતા. જેમાં ફરિયાદીને શક ગયો હતો કે, તેમની પત્ની ભોજનમાં સફેદ પાવડર જેવું કંઈક ભેળવી રહ્યા છે. જેથી તેમને ખાધા પહેલાંનું કંઈક યાદ રહેતું નથી. એક વખત ફરિયાદી જાતે તેમની પત્નીને સૂપમાં પાવડર ભેળવતા જોઈ ગયા હતા, પરંતુ પત્નીની નજર ચૂકવીને તેમણે સૂપ ઢોળી નાખ્યો હતો. ફરિયાદી એક વખત ઊંઘમાંથી જાગ્યા તો પત્ની હોટેલના અન્ય રૂમમાં હતી, જ્યાં તે અન્ય કોઈ સ્ત્રી સાથે લેસ્બિયન સંબંધો બાંધી રહી હતી. ફરિયાદીએ પત્નીનો ફોન તપાસતા એક સ્ત્રીમિત્ર સાથેની ચેટ મળી હતીપત્ની વારંવાર પતિ પાસે પૈસાની માંગણી કરતી હતી. સાળાની ફી ભરવા અને ધંધો સેટ કરવા પૈસા માંગ્યા હતા. વળી દુબઈની રેસ્ટોરામાં તે મહિલા કર્મચારીઓને અભદ્ર રીતે જોતી હતી. તેને ફરીયાદીને કહ્યું હતું કે, તેને મહિલાઓમાં રસ છે. ફરિયાદીએ પત્નીનો ફોન તપાસતા તેની એક સ્ત્રી મિત્ર સાથેની ચેટ મળી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપી પત્ની ફરિયાદી પાસેથી 100 કરોડ પડાવી ભાગી જવાનું કાવતરું બનાવ્યું છે. પોલીસ ફરિયાદ બાદ બન્ને પરિવાર વચ્ચે સમાધાનઆ અંગે ફરિયાદીએ પોતાના પરિવારને જાણ કરી હતી. પત્નીના પરિવારને બોલાવવામાં આવ્યું હતું, જ્યાં બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીને તેનું સ્ત્રીધન પાછું આપી દીધું હતું. ફરિયાદીએ સમાધાન શક્ય નહીં હોવાનું જણાવ્યું હતું. આથી સાસરીયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 100 કરોડ રૂપિયાની માગ કરી હતી. જો કે, અંતે પોલીસ ફરિયાદ બાદ સમાધાન થતા હાઇકોર્ટ ફરિયાદ રદ્દ કરી હતી.
72 કલાકમાં ભરાશે સૌથી મોટો પાયાનો સ્લેબ અમદાવાદના જાસપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયા ધામમાં 72 કલાકમાં 8.57 લાખ ઘનફૂટના વિશાળ રાફ્ટ ભરવાનું કામ પૂર્ણ કરાશે.15 સપ્ટેમ્બરની સાંજથી શરુ થયેલું આ કામ 18 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. PMના જન્મદિવસ નિમિત્તે નમોત્સવ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદના બાપુનગરમાં નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં પીએમની જીવન સફર દર્શાવાશે. સાંઈરામ દવે સહિત ૧૫૦ કલાકારો અને ૪૫૦ ટેકનિશિયનોએ આખો શો તૈયાર કરાયો છે. '3 વર્ષમાં ક્રાઈમમાં ઘટાડો થયો' અમદાવાદમાં 5 મહિનામાં 50 હત્યા થઈ ,છતાં પોલીસ કમિશનરને ક્રાઇમ કંટ્રોલમાં લાગે છે.તેમણે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં ગુનાઓમાં ઘટાડો થયો હોવાનો દાવો કર્યો છે....જોકે તેમણે ગુનાખોરીનો સામાન્ય ડેટા જાહેર કર્યો પણ હત્યાનો ચોક્કસ આંકડો જાહેર નથી કર્યો. શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો સુરતના લસકાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં થયેલી એક શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.મા-બહેનની ગાળો આપતાં ધડથી માથું અલગ કરી નાખ્યું:ઘરમાં હત્યા કર્યા બાદ માથું લઈ કચરામાં ફેંક્યું હતું. ક્રેનને રોકવા જતા લાગ્યો કરંટ અમદાવાદ - મહેસાણા હાઇવે પર મંડાલી ગામે આવેલી ફેબ હિન્દ કંપનીમાં ક્રેનને રોકવા જતા આઠ કામદારોને કરંટ લાગ્યો. 11,000 વોટનો કરંટ લાગતા બે કર્મચારીઓના મોત નીપજ્યા છે. 40 સ્થળો પર ITએ રેડ પાડી મોરબીના લેવીસ સિરામિક ગ્રૂપ સહિત 40 સ્થળો પર ITએ રેડ પાડી. :250થી વધુ અધિકારીઓ જોડાયા, રાજકોટમાં પણ તપાસ કરવામાં આવી. સવા કરોડનો દારૂ ઝડપાયો કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામની સીમમાંથી સવા કરોડ રુ.નો દારુ ઝડપાયો..દારૂનો જથ્થો કન્ટેનર દ્વારા પંજાબથી છેક મુંદ્રા સુધી લાવવામાં આવ્યો હતો.આ દારૂની હેરાફેરી થાય તે પહેલા જ પોલીસે તમામ જથ્થો જપ્ત કર્યો હતો. એકસાથે 10 સિંહ લટાર પર નીકળ્યા ગીરમાં એક સાથે 10 સિંહ લટાર મારવા નીકળ્યા..હરમડીયા-અરીઠીયા રોડ પરથી રાત્રિના સમયે સિંહ પરિવાર નીકળતા અહીંથી પસાર થતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.. સૌથી ઊંચી સરકારી ઇમારત 50% તૈયાર સુરતમાં બની રહેલી દેશની સૌથી ઉંચી સરકારી ઈમારતનું 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ટ્વિન ટાવર્સના 28માંથી 17 માળનું માળખું બનીને તૈયાર થઈ ગયું છે. જેનો વીડિયો સામે આવ્યો ખેલૈયાઓનો ઉત્સાહ પડી શકે છે ઠંડો 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દ.ગુજરાત માટે ભારે રહેશે.. હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
હિંમતનગરની નવીન સિવિલ હોસ્પિટલમાં મંગળવારે બપોરે એક દુઃખદ ઘટના સામે આવી છે. સિદ્ધાર્થનગર વિસ્તારની રોયલ રેસિડેન્સીમાં રહેતા 35 વર્ષીય શર્મિષ્ઠાબેન પરમારે સિવિલ હોસ્પિટલના ક્વાર્ટર્સના C1 બ્લોકના 10માં માળેથી પડતું મૂક્યું હતું. ગર્ભવતી શર્મિષ્ઠાબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબે તરત જ હિંમતનગર સિવિલ પોલીસ ચોકીને જાણ કરી હતી. સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે સિવિલ વર્ધિના આધારે તપાસ શરૂ કરી છે. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી.
પાટણ એપીએમસીમાં નવરાત્રિના પ્રથમ દિવસથી કપાસની નવી સીઝનની શરૂઆત થઈ રહી છે. પ્લોટ નંબર ૫૧ ખાતે સવારે ૯:૧૫ કલાકે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના જણાવ્યા અનુસાર, એપીએમસીમાં ખુલ્લી હરાજી, ખરું તોલ અને રોકડ નાણાંના વ્યવહારને કારણે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તારોના ખેડૂતો તેમની ઉપજ વેચવા આવે છે. ગત વર્ષે એપીએમસીમાં ૧,૯૯,૮૫૮ ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. આ વર્ષે પણ કપાસની મોટી આવકની અપેક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેન સહિત તમામ ડિરેક્ટરો અને સ્ટાફ ખેડૂતોને પૂરતું વળતર મળે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત કાર્યરત રહે છે. આ કારણે પાટણ એપીએમસીએ ખેડૂતોનો વિશ્વાસ અને લોકચાહના મેળવી છે.
ભાવનગર નીલમબાગ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ યુવકોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 475 ગ્રામ ગાંજો, રૂ. 1.50 લાખ રોકડ અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આરોપીઓએ કૂતરાના બિસ્કિટના પાર્સલની આડમાં મુંબઈથી ગાંજો મંગાવ્યો હતો. માયા ટ્રાવેલ્સની ઓફિસે પાર્સલ આવ્યું હતુંપોલીસને મળેલી માહિતી મુજબ, મુંબઈથી પાલતુ કૂતરાના બિસ્કિટના પાર્સલની આડમાં ગાંજો મંગાવવામાં આવ્યો હતો. આ પાર્સલ માયા ટ્રાવેલ્સની ઓફિસે પહોંચ્યું હતું. રૂતુરાજસિંહ ગોહિલ અને તેના મિત્ર પરંજ પટેલને આ પાર્સલની જાણ હતી. પાર્સલ લેવા સમયે જય પટેલ, જીગર સિદ્ધપુરા અને અભિષેક માંગુકિયા પણ હાજર હતા. પોલીસે આરોપીઓના ફોન જપ્ત કર્યાપોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પાર્સલમાં કૂતરાના બિસ્કિટ સાથે રોકડ અને ગાંજો હતો. અભિષેકના કબજામાંથી લીલા રંગની પ્લાસ્ટિક બેગમાંથી ગાંજો, બિસ્કિટ, વજન કાંટા, ગાંજો ક્રશ કરવાની ડબ્બી અને રૂ.1,50,000 રોકડા મળી આવ્યા. એફ.એસ.એલ. અધિકારીએ માદક પદાર્થની પુષ્ટિ કરી હતી. જપ્ત કરાયેલા ગાંજાનું વજન 475 ગ્રામ છે, જેની કિંમત રૂ.4,750 આંકવામાં આવી છે. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી આઈફોન, વનપ્લસ સહિતના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરીપોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગાંજો મુંબઈના પાર્થ ભટ્ટ પાસેથી મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ ફરાર પાર્થ ભટ્ટને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફટી અને હાઇજીન બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, રામનાથપરા મેઈન રોડ પર આવેલી કૌશર બેકરી માંથી મોટી માત્રામાં એક્સપાયરી થયેલ અને વાસી 28 કિલોનખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરમાં અન્ય 20 જેટલા ધંધાર્થીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 9 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નિયમિત રીતે ફૂડ સેફટી અને હાઇજીન જાળવવા માટે સર્વેલન્સની કામગીરી ચાલુ રાખવામાં આવે છે. ઝુંબેશના ભાગરૂપે, ફૂડ વિભાગની ટીમે રામનાથપરા મેઈન રોડ પર આવેલી કૌશર બેકરી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, બેકરીમાં સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલ પેક્ડ વિપ્પીંગ ક્રીમ (18 કિલો), પેક્ડ ફ્લેવર્ડ સીરપ (5 કિલો) અને વાસી કેક (5 કિલો) મળીને કુલ 28 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક આ તમામ જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ, પેઢીને ઉત્પાદન સ્થળ પર સ્વચ્છતા અને યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, ફૂડ સેફટી ઓન વ્હીલ્સ (FSW) વાન સાથે ફૂડ વિભાગની ટીમે શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર ચોક સુધીના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશમાં, કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન, 09 ધંધાર્થીઓ, જેમાં (1) મોમાઈ સુપર માર્કેટ, (2) આરતી પાણીપૂરી, (3) શ્રી મોમાઈ મિલ્ક પાર્લર, (4) VS એન્ટરપ્રાઇઝ, (5) શ્રીરામ ડેરી ફાર્મ, (6) શ્રીરાધે જનરલ સ્ટોર, (7) આશાપુરા જનરલ સ્ટોર, (8) બજરંગ જનરલ સ્ટોર, અને (9) ક્રિષ્ના સેલ્સ એજન્સીનો સમાવેશ થાય છે, તેમને ફૂડ લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ચેકિંગમાં, વિવિધ ખાદ્યચીજોના કુલ 15 નમૂનાઓની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી કોઈ પણ નમૂનો શંકાસ્પદ જણાયો ન હતો. ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહીમાં દરમિયાન અન્ય 11 ધંધાર્થીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. જોકે તેમના દ્વારા વેચાતી ખાદ્ય સામગ્રી ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ હોવાનું જણાયું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યની સુરક્ષા માટે ચેકિંગ અને સર્વેલન્સની કામગીરી સતત ચાલુ રહેશે. આ પ્રકારની કામગીરીનો મુખ્ય હેતુ શહેરમાં વેચાતા તમામ ખાદ્ય પદાર્થો ઉચ્ચ ગુણવત્તાવાળા, સ્વચ્છ અને વપરાશ માટે સલામત હોય તે જોવાનો છે. આથી, તમામ ધંધાર્થીઓને ફૂડ સેફટી અને હાઇજીન સંબંધિત નિયમોનું પાલન કરવા અપીલ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઉત્તરાખંડના દેહરાદૂન અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બાદ ભારે તબાહી જોવા મળી છે. આ કુદરતી આફતને કારણે પહાડો પરથી માટી ધસી પડતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના પરિણામે 50થી વધુ ગુજરાતી પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અટવાયા છે. માટી ધસી પડવાને કારણે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધઆ માહિતી ત્યાં અટવાયેલા ગુજરાતના એક પ્રવાસી, મૌલિક જાનીએ આપી છે. તેમણે જણાવ્યું કે, પ્રવાસીઓને કોઈ મદદ મળી રહી નથી અને લોકો જીવ બચાવવા માટે પોતાનો સામાન લઈને રસ્તા પર ચાલી રહ્યા છે. રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. માટી ધસી પડવાને કારણે વાહનોની અવરજવર સંપૂર્ણપણે થંભી ગઈ છે. જે પ્રવાસીઓએ ટેક્સી બુક કરાવી હતી તેમને પણ રસ્તામાં જ અટકાવી દેવાયા છે. સ્થાનિકોએ JCBની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યોલોકોને 10 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડી રહ્યું છે. રસ્તા પર ઠેર ઠેર માટી અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો JCBની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવામાં હજુ સમય લાગશે તેવું જણાઈ રહ્યું છે. પ્રવાસીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગુજરાતી પ્રવાસીઓએ તંત્ર પાસે તાત્કાલિક મદદ માટે અપીલ કરીમૌલિક જાનીના જણાવ્યા અનુસાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની મદદ મળી રહી નથી. સરકારી વાહનો કે બસો પણ રસ્તા પરથી પસાર થઈ શકતી નથી. આ કપરી પરિસ્થિતિનો લાભ લઈને હોટેલ માલિકોએ પણ પોતાના ભાડા વધારી દીધા છે, જેના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. ગુજરાતી પ્રવાસીઓએ તાત્કાલિક મદદ માટે અપીલ કરી છે. આ પરિસ્થિતિમાં વહીવટીતંત્ર ઝડપથી કાર્યવાહી કરે અને અટવાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરે તે અત્યંત જરૂરી છે.
કોડીનાર સ્થિત શ્રી લોહાણા મહાજન સમાજ વાડી ખાતે મિલેટ્સ આધારિત ખોરાક વિષય પર જાગૃતિ સેમિનાર યોજાયો. 16 સપ્ટેમ્બર, 2025ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં સ્વ સહાય જૂથની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમના મુખ્ય વક્તા રીટાબા જાડેજાએ પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન આપવાનું સૂચન કર્યું. તેમણે દૈનિક જીવનમાં નાના ફેરફારો કરવા પર ભાર મૂક્યો. સેમિનારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને તેના વિકલ્પોની માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં પ્લાસ્ટિકની થેલીના બદલે કપડાની થેલીના ઉપયોગનું પ્રદર્શન રાખવામાં આવ્યું. એક સહભાગી બહેને વીડિયો દ્વારા પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલીના ફાયદા સમજાવ્યા. તેમણે કપડાની થેલીના લાભો વિશે પણ માહિતી આપી. સેમિનારમાં મિલેટ્સ આધારિત ખોરાકના આરોગ્યલક્ષી ફાયદાઓની વિસ્તૃત ચર્ચા થઈ. સહભાગી બહેનોએ પર્યાવરણ સંરક્ષણ અને મિલેટ્સના ઉપયોગ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા. આ સેમિનારથી સમાજમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધી છે. કાર્યક્રમમાં બહેનોને સ્વસ્થ જીવનશૈલી માટે મિલેટ્સ આધારિત ખાદ્ય પદાર્થોની ઉપયોગિતા સમજાવવામાં આવી.
બાયડમાં PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી:ધારાસભ્યની હાજરીમાં રક્તદાન કેમ્પ, અંગદાન જાગૃતિ રેલી યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાયડમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન થયું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું. સમગ્ર દેશમાં રક્તદાન દ્વારા ગિનીઝ વર્લ્ડ બુકમાં સ્થાન મેળવવાના પ્રયાસમાં બાયડે પણ યોગદાન આપ્યું. અંગદાન અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. ધારાસભ્યની સંસ્થા અને સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓએ અંગદાન જાગૃતિ માટે રેલીમાં ભાગ લીધો. આ રેલી ગાયત્રી મંદિરથી બસ સ્ટેશન સુધી યોજાઈ. આ રીતે બાયડમાં સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
ગાંધીધામ-આદિપુરમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપીઓ પાસેથી 60 હજારની કિંમતના ત્રણ બાઇક કબજે
ગાંધીધામ બી-ડીવીઝન પોલીસે વાહન ચોરીના ગુનાઓમાં મહત્વની સફળતા મેળવી છે. પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગાંધીધામ પોસ્ટ ઓફીસથી ઈન્કમટેક્ષ ઓફિસ તરફના રોડ પરથી બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં કિડાણાના અબ્દુલ મુસા ચાવડા (ઉ.વ.23) અને અંજારના ફિરોજ અલીમામદ મથડા (ઉ.વ.28)નો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ત્રણ અલગ-અલગ સ્થળોએથી મોટરસાઈકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમણે યોગેશ્વર નગર કિડાણા, રોયલ સિયા સોસાયટી પાછળની સેંટ પોલ સ્કૂલ પાસેથી અને આદિપુરની સોનલ હોટેલ સામેની લાઈનમાંથી વાહનો ચોર્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.60 હજારની કિંમતની ત્રણ મોટરસાઈકલ કબજે કરી છે. જેમાં હિરો સ્પલેન્ડર પ્લસ (કિંમત રૂ.20 હજાર), હોન્ડા સાઈન (કિંમત રૂ.35 હજાર) અને હિરો ડિલક્ષના અલગ-અલગ સ્પેર પાર્ટ્સ (કિંમત રૂ.5 હજાર)નો સમાવેશ થાય છે. આ મામલે ગાંધીધામ બી-ડીવીઝન અને આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં નમો કે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ સિકલસેલ, થેલેસેમિયા અને હિમોફીલિયાના દર્દીઓને મદદરૂપ થવાનો છે. સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેતૃત્વમાં યોજાયેલા આ કેમ્પમાં એક કર્મચારી – એક રક્તદાતાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. કેમ્પનું આયોજન પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, દિયોદર અને કાંકરેજ એમ કુલ 7 સ્થળોએ સવારે 8 વાગ્યાથી કરવામાં આવ્યું છે. જિલ્લામાંથી 5500 કર્મચારીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે 60 ટકા કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા છે. કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો, પોલીસ વિભાગ અને એસઆરપી કેમ્પના કર્મચારીઓએ ભાગ લીધો છે. રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીઓ, પાલનપુર અને ધાનેરાના ધારાસભ્યો તેમજ પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
હાલોલ તાલુકાના વ્રજવિલા બંગ્લોઝ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટીયાના મુવાડા વિસ્તારમાં રહેતા જીગીશાબેન કલરવકુમાર પટેલ પાસેથી ત્રણ અજાણ્યા શખ્સોએ મોબાઈલની લૂંટ કરી છે. 3 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યાની આસપાસ જીગીશાબેન જમીને સોસાયટી નજીક ચાલવા નીકળ્યા હતા. તેઓ મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન દાવડા તરફથી બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પાછળથી આવીને તેમનો ફોન ઝૂંટવી લીધો હતો. જીગીશાબેને તુરંત જ પોતાના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. આરોપીઓએ વારંવાર ફોન કટ કર્યો અને થોડી વારમાં ફોન બંધ કરી દીધો. લૂંટાયેલો વન પ્લસ નોર્ડ 3 મોડલનો ફોન રૂ. 22,000ની કિંમતનો છે. અંધારું હોવાથી જીગીશાબેન બાઈકનો નંબર જોઈ શક્યા નહોતા. આરોપીઓને પણ ઓળખી શક્યા નહોતા. તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં આવી જ રીતે અન્ય વ્યક્તિનો પણ મોબાઈલ લૂંટાયો છે. જીગીશાબેને પોતાના પતિ સાથે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અજાણ્યા આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
પાટણ શહેરના વોર્ડ નંબર 11માં આવેલી શ્યામ બંગ્લોઝ સોસાયટીના રહીશો પાણીની સમસ્યાથી પરેશાન છે. છેલ્લા એક વર્ષથી સોસાયટીમાં અનિયમિત અને અપૂરતો પાણી પુરવઠો મળી રહ્યો છે. વળી, ઘણીવાર ગંદું પાણી આવવાથી રહીશોના આરોગ્યને જોખમ ઉભું થયું છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી. આજે સોસાયટીની મહિલાઓએ પાલિકાની વોટર વર્ક્સ શાખામાં ધરણા કર્યા હતા. તેમણે જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પાલિકામાંથી નહીં જવાની ચીમકી આપી હતી. મહિલાઓએ બોર ઓપરેટર અને ટેન્કર માફિયા વચ્ચે મિલીભગત હોવાનો આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા મુજબ, બોર ઓપરેટર પાણી માટે રજૂઆત કરતાં ટેન્કર બોલાવવાની સલાહ આપે છે. સ્થાનિકોએ ચૂંટણી સમયે મત માંગવા આવતા કોર્પોરેટરો હવે દેખાતા ન હોવાની ફરિયાદ પણ કરી હતી. ઉપ પ્રમુખ હિનાબેન શાહને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સમસ્યાના નિરાકરણની ખાતરી આપી છે. સોસાયટીના રહીશોએ આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે. વિસ્તારના કોર્પોરેટર જયેશ પટેલ પાલિકા ખાતે દોડી આવ્યા હતા અને સમસ્યાના નિકાલ માટેની હૈયા ધારણા આપી હતી.
વેરાવળ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો યોજાયો. આ મેળો રાજ્ય સરકારની પા-પા પગલી યોજના અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો. આંગણવાડી કેન્દ્રોમાં 3થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આંગણવાડી કાર્યકરો દૈનિક થીમ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો વિકાસ કરે છે. કાર્યકરો 'મારી વિકાસ યાત્રા એપ્લિકેશન' થકી બાળકોના વિકાસનું ટ્રેકિંગ કરે છે. કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. આંગણવાડી કાર્યકર બહેનોએ થીમ આધારિત મોડલ પ્રદર્શિત કર્યા. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો અને આંગણવાડી બહેનોને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. દર વર્ષે યોજાતા આ મેળાનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસ અને તેના આકલન અંગે વાલીઓને માહિતગાર કરવાનો છે. સાથે જ આંગણવાડી કાર્યકર, તેડાગર અને માતા-પિતાને બાળ ઉછેરમાં તેમની ભૂમિકા સમજાવવામાં આવે છે. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કારોબારી સમિતિના ચેરમેન ડાયા જાલોંધરા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામીબેન વાજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર હીરાબેન રાજશાખા તેમજ વિવિધ આંગણવાડીઓના કાર્યકર અને તેડાગર બહેનોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો.
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામની મોડેલ સ્કૂલમાં શિક્ષણ વ્યવસ્થા કથળી છે. શાળામાં એક પણ કાયમી કે જ્ઞાન સહાયક શિક્ષક નથી. આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રાંત કચેરી ડેડીયાપાડા ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. શાળામાં ધોરણ 6થી 10 અને 11-12 સાયન્સના વર્ગો ચાલે છે. કુલ 84 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માત્ર શાળા ઇન્ચાર્જ આચાર્યથી કામ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ શાળાએ આવે છે, પરંતુ શિક્ષકોના અભાવે માત્ર બેસીને પાછા જાય છે. 2014થી કાર્યરત આ મોડેલ સ્કૂલનું પોતાનું મકાન પણ નથી. વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના વર્ગખંડો અને મધ્યાહન ભોજન શેડમાં બેસાડવામાં આવે છે. શિક્ષકોની નિમણૂક અને શાળા મકાન સહિત ભૌતિક સુવિધાઓ માટે ગ્રામ પંચાયત અને વાલીઓએ વારંવાર રજૂઆત કરી છે. વાલી અર્જુનભાઈ વસાવાએ જણાવ્યું કે શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર થઈ રહી છે. વાલીઓએ 7 દિવસમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો ધરણા કરવાની ચીમકી આપી છે.
અમદાવાદ શહેરના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભમાંથી પસાર થતી CNG પાઈપલાઈનમાં કોઈ કારણસર આગ લાગતા અફરાતફરી મચી હતી. પાઈપલાઈનમાં પ્રેશર વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વિજયનગર રેલવે ક્રોસિંગ પાસે CNG પાઈપલાઈનમાં આગઅમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા વિજયનગર રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતી CNG પાઈપલાઈનમાં ભંગાણ થયા બાદ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ગેસનાપ્રેશરના કારણે આગ વિકરાળ બની હતી. ત્રણ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
દાંતીવાડા ડેમમાં પાણીની આવક:ડેમ 93% ભરાયો, 26 હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે
બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ વધ્યો છે. ડેમ હાલ 93 ટકા ભરાયેલો છે. ડેમનું રૂલ લેવલ 602 ફૂટ છે. હાલનું પાણીનું સ્તર 601.55 ફૂટ નોંધાયું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર, ડેમના કમાન્ડ વિસ્તારમાં પાલનપુર, ડીસા, દાંતીવાડા અને કાંકરેજ તાલુકાના 26,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. વહીવટીતંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો પાણી છોડવાની જરૂર પડશે તો ડેમના દરવાજા નિયમ મુજબ ખોલવામાં આવશે. આ અંગે જાહેર જનતા અને સંબંધિત વિભાગોને પૂર્વ સૂચના આપવામાં આવશે. જરૂરી તમામ પગલાં સમયસર લેવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામમાં વીજ ચેકિંગ દરમિયાન હિંસક ઘટના સામે આવી છે. વીજ વિભાગની સાત ટીમો ગ્રામ્ય વિસ્તારોમાં વીજ મીટર ચેકિંગ માટે નીકળી હતી. ટીમો સવારે રાખેજ ગામમાં ચેકિંગ કરી કણજોતર ગામે પહોંચી હતી. ગામમાં પ્રવેશતાં જ 70થી 80 લોકોનું ટોળું એકત્ર થયું. ટોળાએ વીજ કર્મચારીઓના વાહનને ઘેરી લીધું અને પથ્થરમારો શરૂ કર્યો. હુમલામાં જૂનિયર ઈજનેર એ.પી. કટારીયા અને ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ અશોક પરમાર ઈજાગ્રસ્ત થયા છે. બંને ઘાયલ કર્મચારીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત વીજ કર્મચારી અશોક પરમારના જણાવ્યા મુજબ, ટોળાએ અચાનક હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આવેલા શ્રી વરદાયિની માતાના મંદિરના પ્રખ્યાત પલ્લી મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી આવતા ભક્તોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાયદો વ્યવસ્થા, ફાયર સેફટી,આરોગ્ય સેવાઓ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા અને આયોજન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર દવેએ આ પ્રસંગને ગાંધીનગર જિલ્લા માટે ગૌરવની વાત ગણાવીને જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, તેમજ રૂપાલ ગામના સરપંચ અને વરદાયિની મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન બેઠકમાં શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટેની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ સુવ્યવસ્થિત વાહન વ્યવહાર અને પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પલ્લી મેળા દરમિયાન પીવાનું પાણી, વીજ પુરવઠો, અને શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મેળામાં વપરાતા ઘી અને અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. પલ્લી રથના રૂટમાં આવતા જોખમી મકાનો અને વૃક્ષોને દૂર કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,આસો સુદ નોમના દિવસે યોજાતો આ પલ્લી મેળો તેની અનોખી પરંપરા માટે જાણીતો છે, જ્યાં માનવામાં આવે છે કે પાંડવોના સમયથી ચોખ્ખા ઘીની નદીઓ વહે છે. આ પ્રાચીન અને ઐતિહાસિક પરંપરાને જાળવી રાખીને જિલ્લા વહીવટી તંત્ર લાખો ભક્તોની આસ્થાને સુરક્ષિત રાખવા માટે ખડેપગે રહેશે.
પશ્ચિમ કચ્છ LCBએ મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામની સીમમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન શ્રીરામ યાર્ડમાંથી અધધ સવા કરોડનો દારુ ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો કન્ટેનર દ્વારા પંજાબથી છેક મુંદ્રા સુધી લાવવામાં આવ્યો હતો. જે બાદ યાર્ડમાં જથ્થો છુપાવી રાખ્યો હતો. ત્યારે આ દારૂની હેરાફેરી થાય તે પહેલા જ પોલીસે તમામ જથ્થો જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થો લીસ્ટેડ બૂટલેગરોનો હોવાનું ખુલ્યુંપોલીસની તપાસમાં ત્રગડી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજા અને અબડાસાના ખાનાયાના જીતુભા નામના લીસ્ટેડ બૂટલેગરોનો આ જથ્થો હોવાનું બહાર આવ્યું છે. તેમજ જયદિપસિંહદ રાઠોડ, ટ્રેલર માલિક નવુભા જાડેજા અને ટ્રેલર ચાલકના નામ પણ ખુલ્યા છે. આરોપીઓએ પંજાબથી આ માલ કન્ટેનરમાં છુપાવી મુન્દ્રા સુધી પહોંચાડ્યો હતો અને ધ્રબ ગામની સામમાં આવેલા કન્ટેનર યાર્ડમાં છુપાવી રાખ્યો હતો. બાતમીના આધારે પોલીસે આ જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે 1.29 કરોડનો દારૂ જપ્ત કર્યોપોલીસે દારૂની 3504 બોટલો અને 43,200 બીયરના ટીન પકડી પાડ્યા છે. કબ્જે થયેલો પ્રોહિબિશનની કિંમત રૂપિયા 1 કરોડ 29 લાખ 10 હજાર 800 થાય છે. 2 લાખના કન્ટેનર સહિત કુલ રૂ.1 કરોડ 31 લાખ 10 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની સત્તાવાર વિગત મુજબ દારૂની બોટલોની કિંમત 38,38,800/- થાય છે, જ્યારે બીયરના ટીનની કિંમત 90,72,000/- નોંધાઈ છે. ઉપરાંત જેમા દારૂ ભરીને લઈ અવાયો તે કન્ટેનર પણ કબ્જે કરાયું છે, જેની કિંમત 2 લાખ ગણવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈઆ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચિરાગ કોરડિયા અને એસપી વિકાસ સુંડાના માર્ગદર્શનમાં એલસીબીના પીઆઈ હિતેશ જેઠી અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. છેલ્લા 6 માસમાં 6થી 7 કરોડનો દારૂ ઝડપાયોઆ કાર્યવાહી સાથે જ દારુ બંધી મામલે ફરી સવાલો ઊભા થયા છે. છેલ્લા છ માસના સમયગાળામાં કુખ્યાત બુટલેગરનો અધધ… કહી શકાય તેવો કરોડો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સતત સાતમું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે અને લગભગ છથી સાત કરોડનો દારૂ પોલીસે ઝડપી પાડયો છે, તેમ છતાં કરોડોનો માલ કચ્છ સુધી લાવવાની હિમંત સાથે કુખ્યાત આરોપીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ દારૂનો જથ્થો કચ્છ લાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રગડી ગામના બુટલેગર યુવરાજસિંહ જાડેજા સામે આ પહેલા પણ મોટી માત્રામાં નશાખોરીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને તે બદલ અનેક પ્રોહિબિશનના ગુના પણ પોલીસ દફ્તરે નોંધાયેલા છે. આમ છતાં દારૂનો વેપલો ચલાવતો રહે છે.
પાંકડસરમાં સરાદિયો મેળો:ગરીબદાસ બાપુના સ્થાનકે બે દિવસીય મેળામાં 50 હજારથી વધુ ભાવિકોનો ધસારો
ભચાઉ તાલુકાના પાંકડસર સ્થિત ગરીબદાસ બાપુના સ્થાનકે બે દિવસીય સરાદિયા મેળો યોજાયો છે. મેળામાં 50 હજારથી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે. ભુજ-દુધઈ રોડ પર આવેલા ગરીબદાસ બાપુની જીવંત સમાધિ સ્થળે પૂર્વ રાત્રિએ સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જીવદયા અર્થે આયોજિત આ કાર્યક્રમમાં જીતુપુરી ગોસ્વામી, બાબુભાઈ આહીર, પિયૂષ મિસ્ત્રી, પ્રીતિબેન વાંજા અને રમેશભાઈએ સંગીતમય પ્રસ્તુતિ આપી હતી. 391માં સરાદિયા મેળા પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત અનેક રાજકીય નેતાઓએ હાજરી આપી હતી. મહંત કૃષ્ણાનંદજી મહારાજની અધ્યક્ષતામાં તળાવ કિનારે શ્રાદ્ધ તર્પણવિધિ યોજાઈ હતી. મહંતે કાચબાને ખીચડાનો શ્રાદ્ધ નાખ્યો હતો. હજારો ભાવિકો અને સાધુ-મહાત્માઓએ ખીર અને ખીચડીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મેળા માટે ભચાઉ, કડોલ અને અંજારથી ખાસ એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. 3 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા મેળામાં મનોરંજનના સાધનો અને વિવિધ બજારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મહંત કૃષ્ણાનંદજીના જણાવ્યા અનુસાર, સંવત 1601માં પૂજ્ય ગરીબદાસ બાપુએ પાંકડસરને તપોભૂમિ બનાવી હતી. તેમણે સંવત 1690ની ભાદરવા સુદ દસમના રોજ શિષ્યો સાથે અહીં જીવંત સમાધિ લીધી હતી. ત્યારથી દર વર્ષે આ પરંપરાગત શ્રાધ્ધિયો મેળો યોજાય છે. મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પોલીસ અને હોમગાર્ડ વિભાગની મદદથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં 9 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરના ટાવર ચોક પાસે આવેલી હિંમત હાઈસ્કૂલમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વી.ડી. ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનો પ્રારંભ થયો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત આ શિબિરમાં શિક્ષકો, એસટી વિભાગના કર્મચારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ રક્તદાન કર્યું હતું. જિલ્લામાં અન્ય રક્તદાન શિબિરો ઈડરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને બડોલીની આર.એચ.જાની હિંગવાલા હાઇસ્કુલમાં યોજાયા હતા. ગાંભોઈ ગ્રુપ સેકન્ડરી સ્કુલ, વડાલીની શેઠ સી.જે.હાઇસ્કુલ અને ખેડબ્રહ્મામાં શેઠ કે.ટી.હાઇસ્કુલમાં પણ રક્તદાન શિબિર યોજાયા હતા. વિજયનગરમાં સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, તલોદના સલાટપુરમાં એમ.એસ.પંચાલ હાઇસ્કુલ અને પ્રાંતિજમાં શેઠ પી.એન્ડ.આર.હાઇસ્કુલમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરો દ્વારા લોકોના જીવન બચાવવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વીરસિંગપરા ગામમાં વહેલી સવારે દીપડાએ ડેપ્યુટી સરપંચ પર હુમલો કર્યો છે. ડેપ્યુટી સરપંચ બચુ વસાવા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો. હુમલામાં તેમને માથાના ભાગે ઈજા થઈ છે. બચુભાઈએ બૂમાબૂમ કરીને પોતાને દીપડાની પકડમાંથી છોડાવ્યા હતા. હાલ તેમને સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચુભાઈએ જણાવ્યું કે તેમણે વન વિભાગમાં દીપડા પકડવા માટે અનેક વખત અરજી કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ પણ દીપડાએ તેમના પશુઓનું મારણ કર્યું હતું. વિસ્તારમાં શાળાએ જતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં દીપડા વારંવાર જાહેરમાં દેખાય છે. ખોરાકની શોધમાં તેઓ ગામડાઓ અને શહેરોમાં આવી જાય છે. સ્થાનિકોએ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની માંગ કરી છે.
આયુષ મંત્રાલય, ભારત સરકારના નવા નિર્ણય મુજબ, રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ હવેથી ધનતેરસને બદલે દર વર્ષે 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. પાટણ જિલ્લામાં આ દિવસની ઉજવણી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર, બોલેરા રોડ કોર્નર, શંખેશ્વર ખાતે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવશે. નિયામક આયુષની કચેરી અને આરોગ્ય વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારીની દેખરેખમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ વર્ષની થીમ 'આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ' રાખવામાં આવી છે. કાર્યક્રમમાં 8 મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં સ્થૂળતા માટે આયુર્વેદિક આહાર, ડિજિટલ આયુર્વેદ, કેન્સર સારવારમાં આયુર્વેદની ભૂમિકા, વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ જાગૃતિ, પશુ સ્વાસ્થ્ય અને વનસ્પતિ સ્વાસ્થ્ય માટે આયુર્વેદનો સમાવેશ થાય છે. જિલ્લાના આયુષ દવાખાનાઓ અને આયુષમાન આરોગ્ય મંદિરોમાં વિના મૂલ્યે નિદાન-ચિકિત્સા કેમ્પ, સુવર્ણપ્રાશન કેમ્પ, યોગ શિબિરો, ઉકાળા વિતરણ કેમ્પ અને પોષણ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. વર્ષા બી. પટેલ અને તેમની ટીમે તમામ નાગરિકોને આ કાર્યક્રમોમાં જોડાવા અનુરોધ કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આયુર્વેદના સિદ્ધાંતો દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જાળવવું અને તેનું સંવર્ધન કરવાનો છે.
કોપર કેબલ ચોરીનો પર્દાફાશ:જામનગરમાં LCB પોલીસે 3.74 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી
જામનગરમાં પોલીસે કોપર કેબલ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ૧.૭૪ લાખની કિંમતનો કોપર કેબલ વાયર અને ૨ લાખની કિંમતની વાસ્પા રિક્ષા મળી આવી છે. પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતીભાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસને જામનગર-રાજકોટ હાઇવે પર ધુવાવ હાઉસિંગ બોર્ડ પાસે એસ્સાર પંપની બાજુમાં બાતમી મળી હતી. પકડાયેલા આરોપીઓમાં હિંમતભાઈ અલુભાઈ સાડમીયા (૨૨ વર્ષ) અને રણછોડભાઈ લખુભાઈ સાડમિયા (૨૪ વર્ષ)નો સમાવેશ થાય છે. બંને ધુવાવ હાઉસિંગ બોર્ડના રહેવાસી છે અને મજૂરી કામ કરે છે. આરોપીઓ પાસેથી ૪૩૫ મીટર કોપર કેબલ વાયર જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને LCB સ્ટાફના ભરતભાઈ પટેલ સહિતની ટીમે કરી હતી. આરોપીઓને વધુ કાર્યવાહી માટે ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લાના ટ્રાઈબલ વિસ્તારમાં પોલીસે નવતર પહેલ કરી છે. કાયદાકીય જાગૃતિના અભાવે કિશોરવયે પ્રેમ પ્રકરણોમાં ફસાતા યુવાનોને બચાવવા માટે પોલીસે આ પહેલ કરી છે. મહીસાગર પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. સંતરામપુર પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા રવાડીના મેળામાં વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. DySP કમલેશ વસાવાના નેતૃત્વમાં પોલીસ દ્વારા યુવાનો અને યુવતીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને 18 વર્ષની ઉંમર સુધી સંયમ જાળવવા અને કાયદાની જોગવાઈઓનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યું છે. વિસ્તારમાં સગીર વયના છોકરા-છોકરીઓ ભાગી જવાની ઘટનાઓ બને છે. આવા કિસ્સાઓમાં POCSO એક્ટ હેઠળ કાર્યવાહી થાય છે. પરિણામે ઘણા યુવાનો પોતાની કારકિર્દી બનાવવાને બદલે જેલમાં સમય વિતાવે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે આ પહેલ કરી છે.
ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામના રહીશોએ પ્રાથમિક શાળાના આચાર્ય જયદિપભાઈ જોગરાણા વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. ગ્રામજનોએ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોના આક્ષેપ મુજબ, છેલ્લા પાંચ વર્ષથી શાળામાં શિક્ષણનું સ્તર નબળું રહ્યું છે. શાળા જિલ્લામાં શૈક્ષણિક ગુણવત્તામાં છેલ્લા ક્રમે છે. આચાર્ય શિક્ષણ પ્રત્યે બેદરકારી દાખવે છે અને ભ્રષ્ટાચારના આરોપો પણ મૂકવામાં આવ્યા છે. મોટી કુંડળ ગામના આગેવાન ચન્દ્રસિંહ જાળીયાએ જણાવ્યું કે, આચાર્યની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ છે. જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે.
પશ્ચિમ રેલવે વડોદરા મંડળ અને NDRF બટાલિયન-6એ ગોધરા-આણંદ રેલવે લાઇન પર ભામૈયા ગામ નજીક રેલવે દુર્ઘટનાની મોકડ્રિલનું આયોજન કર્યું. મોકડ્રિલમાં પેસેન્જર ટ્રેનના ICF કોચ એકબીજા પર ચઢી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું. દુર્ઘટના બચાવ યાન અને ચિકિત્સા યાન તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા. બચાવ ટીમે ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરી. ઘાયલ થયેલા મુસાફરોની તાત્કાલિક સારવાર માટે પ્રાયોગિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી. રેલવે અધિકારીઓએ સમગ્ર કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. આ મોકડ્રિલથી કટોકટીની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટેની તૈયારીઓની ચકાસણી કરવામાં આવી. સ્થાનિક લોકોને જ્યારે જાણ થઈ કે આ એક મોકડ્રિલ છે ત્યારે તેમણે રાહતનો શ્વાસ લીધો.
અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધી છે જેમાં હત્યાના બનાવ સૌથી વધુ વધ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર પોલીસના અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. શહેરમાં છેલ્લા 5 મહિનામાં હત્યાના 50 બનાવ બન્યા છે છતાં પોલીસ કમિશનરનું કહેવું છે કે ક્રાઈમ કંટ્રોલમાં છે, છેલ્લા 3 વર્ષની સરખામણીમાં ક્રાઈમ ઓછો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ગુનાખોરીનો ડેટા જાહેર કર્યો પરંતુ હત્યાનો ડેટા જાહેર કર્યો નથી. અમદાવાદમાં ક્રાઈમ કંટ્રોલમાં છે: પોલીસ કમિશનરશહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં ક્રાઈમમાં ઘટાડો થયો છે.અમદાવાદને સેફેસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદમાં કોઈ એવું વાતાવરણ પણ નથી.ક્રાઈમ કંટ્રોલમાં છે.લૂંટના ગુના 98 ટકાથી વધુ ડિટેકટ થયા છે.ધાડના ગુના 100 ટકા ડિટેકટ થયા છે.ઘરફોડ ચોરી 56.71 ટકા ડિટેક્ટ થઈ છે. ખાનગી લોકો સાથે મળીને 27 હજારથી વધુ CCTV જાહેરમાં લગાવ્યાCCTVનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં ખાનગી લોકો સાથે મળીને 27 હજારથી વધુ CCTV જાહેરમાં લગાવ્યા છે. જેની ફિડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળે છે. મોટા ગુનામાં CCTV મદદરૂપ છે. CCTV કેમેરાની મદદથી ગુના ઉકેલી શકાય છે. શહેરમાં વધુમાં વધુ CCTV લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારો પણ શહેરમાં વધ્યા છે. એસપી રીંગ રોડ અમદાવાદ પોલીસની હદમાં આવ્યો છે. નવરાત્રિમાં નિયમ મુજબ 12 વાગ્યા સુધી ગરબા ચાલશેનવરાત્રિની તૈયારી ચાલી રહી છે. જેમાં પોલીસ પેટ્રોલિંગ,શી ટીમ સતત કામ કરશે.CCTV કેમેરા કંટ્રોલથી મોનીટરીંગ થશે.112 ઈમરજન્સીના કારણે નજીકની PCR સ્થળ પર પહોંચી જાય છે તેનાથી ફાયદો છે.નવરાત્રિમાં નિયમ મુજબ 12 વાગ્યા સુધી ગરબા ચાલશે.રાતે ટ્રાફિક ન થાય તે માટે ટ્રાફિક પોલીસ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ રહેશે.શી ટીમની મહિલાઓ ગરબાના ડ્રેસમાં હાજર રહેશે. 1 કરોડ-મકાનની સોપારી આપી અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યા કરાવીઅમદાવાદમાં 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગરબ્રિજ નીચેથી ઠક્કરનગરબ્રિજ પાસે આવેલા કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી હતી. બીજા દિવસે આ હત્યાકેસના સગીર સહિત 3 આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ એક કરોડ રોકડા અને એક મકાનની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. બન્ને વચ્ચે 2020થી વિવાદ શરૂ થયો હતો. જેમાં ઘણીવાર સમાધાન થયા બાદ બાબત શાંત પડી નહોતી. બન્ને વચ્ચેની પાર્ટનરશિપ છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુઃખ થયું હતું,જેનું પરિણામ લોહિયાળ આવ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી છે. હત્યા કેસમાં ઝડપાયેલા હિમાંશુ અને પપ્પુને લઈ ઘટનાસ્થળ પર રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ સમયે પોલીસ દ્વારા જાહેરમાં જ આરોપીઓને ફટાકારાત હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદમાં ગુંડાઓએ ધારિયાં-છરીના આડેધડ ઘા મારી યુવકની હત્યા કરી12 સપ્ટેમ્બરે વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર જ નામચીન નૈસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. નંબરપ્લેટ વગરની કારમાં આવેલા 7-8 અજાણ્યા શખસોએ પહેલા નૈસલ ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો. બાદમાં ગાડીમાંથી ઉતરી ધારિયાં અને છરીના ઉપરાછાપરી ઘા મારી તેને પતાવી દીધો. વાંચો સંપૂર્ણ સમાચાર લોહિયાળ ગેંગવોર, ચમનપુરાની ચાઇના ગેંગ ધારિયા લઈ તૂટી પડી22 ઓગસ્ટે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. રોડની વચ્ચે જ 10થી વધુ લોકો ધારિયાં જેવાં ઘાતક હથિયારો સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા. થોડા સમય પહેલાં યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો, એ જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર આરોપીઓ ચાઇના ગેંગ સાથે સંકળાયેલા છે. આ ગેંગ મૂળ ચમનપુરાની છે અને ગુનાહિત પ્રવૃતિઓ માટે કુખ્યાત છે. લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદમાં સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતાં તલવાર સાથે ટોળું ધસી આવ્યુંથોડા મહિનાઓ પહેલા ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં મોડીરાતે સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતાં ટપોરીઓ હથિયારો સાથે ઘૂસી ગયા અને આતંક મચાવ્યો હતો તેમજ પથ્થરમારો કરતાં લોકો ભયમાં મુકાઈ ગયા હતા. આ સમગ્ર બનાવના CCTV અને વીડિયો પણ સામે આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદ CPના એલર્ટને ગુંડાઓ ઘોળીને પી ગયાગુંડાઓ CPના એલર્ટને ઘોળીને પી ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. 14 એપ્રિલે રાત્રે શહેરના રખિયાલ વિસ્તારમાં ગુંડાઓએ આતંક મચાવ્યા બાદ 16 એપ્રિલે તે જ વિસ્તારમાં લુખ્ખાઓએ એક યુવકનું અપહરણ કરી બેઝબોલની સ્ટિક મારી અધમૂઓ કરી નાખ્યો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અનસેફ સિટી4 ઓગસ્ટે મિડ-યર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું. આ જાહેરાત પાછળ મુખ્ય 4 પરિબળ દર્શાવ્યાં હતાં, જેમાં લોકોની સુરક્ષા માટે 25 હજાર CCTV લગાવાયા છે. પોલીસની PCRનો રિસ્પોન્સ સમય સરેરાશ 5 મિનિટ છે. મહિલા-બાળકો અને વૃદ્ધો માટે 50 શી ટીમની કામગીરી તેમજ ગંભીર ગુનાનો ડિટેકશન દર 95થી 100 ટકા અને ગંભીર ગુનાઓના પ્રમાણમાં ઘટાડો કારણભૂત છે. ત્યારે અમદાવાદ શહેરની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ તો કંઈક અલગ જ જોવા મળી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
વિશ્વ પ્રવાસી દિવસ નિમિત્તે ભાવનગર એરપોર્ટ દ્વારા પ્રવાસી દિવસની ઉજવણી ઉપરાંત પ્રવાસી પખવાડિયાની ઉજવણી સંદર્ભે અલગ-અલગ કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરી છે. અલગ-અલગ થીમ પર પ્રવાસી પખવાડિયાની ઉજવણી કરવામાં આવશેભાવનગરમાં છેલ્લા 3 માસ કરતા વધુ સમયથી એરપોર્ટ પર એક પણ પ્રકારની હવાઈ સેવા ઉપલબ્ધ નથી, આમ છતાં વિશ્વ પ્રવાસી દિવસની ઉજવણી માટે તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ ભાવનગર એરપોર્ટના ડાયરેક્ટર તપન નાયકે પ્રવાસી દિવસની ઉજવણી સંદર્ભે મીડિયાને માહિતી આપી હતી. જે અંતર્ગત ભાવનગર એરપોર્ટનો ઉપયોગ કરનાર પ્રવાસી સાથે સંવાદ ઉપરાંત વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ, સેલ્ફી ઝોન સહિત અલગ-અલગ થીમ આધારે પ્રવાસી પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું, આ સાથે આગામી સમયમાં ભાવનગરથી મુંબઈને જોડતી નવી હવાઈ સેવા શરૂ થનાર હોવાનું પણ ડાયરેક્ટર નાયકે જણાવ્યું હતું. આ સિવાય એરપોર્ટના નવીનીકરણ તથા પ્રવાસીઓની સુખાકારી માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ નવી સેવાઓ ઉપલબ્ધીઓ અંગે પણ માહિતી આપી હતી.
સુરત રેલવે સ્ટેશન જે મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યાં પાર્કિંગ વ્યવસ્થા સંબંધિત વિવાદે એક નવો પ્રશ્ન ઊભો કર્યો છે જેના કારણે મુસાફરોમાં નારાજગી ફેલાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા બે વીડિયોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વાહનચાલક સાથે અભદ્ર વર્તન અને દાદાગીરી કરતો જોવા મળ્યો હતો. આ સાથે જ વાહનચાલકને કહી રહ્યો હતો કે, 'તું પાંચસો દેગા તો ભી મેં તુજે ગાડી નહીં રખને દૂંગા, તારે જેને પણ બોલાવવા હોય તેને બોલાવી લેજે'. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પાર્કિંગ સ્ટાફનો એક કર્મચારી મુસાફરને ધમકી આપતો જોવા મળે છે કે, 'જો એક કલાકમાં નહીં આવો તો ગાડીના ટાયરની હવા કાઢી નાંખીશ, આ લોકલ પાર્કિંગ છે, તમે 500 રૂપિયા આપો તો પણ ગાડી નહીં મુકવા દઉં.' આ પ્રકારની હરકતે પ્રવાસીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને રેલવેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહી હોય તેમ લાગે છે. 100 રૂપિયાની વસૂલાત કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતોઅન્ય એક વાઇરલ વીડિયોમાં એક કર્મચારી પાર્કિંગને લઈને થયેલી નાની દલીલ દરમિયાન વાહનચાલક સાથે ઝપાઝપી કરતો અને વાહનને ધક્કો મારતો જોવા મળ્યો હતો. આ કર્મચારીએ “તારે જેને બોલાવવો હોય એને બોલાવી દે જેવી ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો, જેનાથી મુસાફરો અને તેમના સંબંધીઓમાં ગુસ્સો ફેલાયો હતો. આ પહેલા પણ સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં અયોગ્ય વર્તન અને વધુ ફી વસૂલવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. થોડાક સમય પહેલાં આ જ વિસ્તારમાં એક કર્મચારીએ કાર પાર્કિંગ માટે 100 રૂપિયાની વસૂલાત કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આવી સતત બનતી ઘટનાઓએ મુસાફરોમાં અસંતોષ વધાર્યો છે અને રેલવે સ્ટેશનની સેવાઓની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે. મુસાફરોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરીઆવી ઘટનાઓથી સુરત રેલવે સ્ટેશન પર સુરક્ષિત અને સુગમ સેવાઓ મેળવવી મુશ્કેલ બની રહી છે. ઘણા મુસાફરોએ રેલવે તંત્ર પાસે પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી અને અયોગ્ય વસૂલાત સામે કડક કાર્યવાહીની માગ કરી છે. લોકોનું માનવું છે કે, વિશ્વસ્તરીય સ્ટેશનના નામે ચાલતા પુનર્વિકાસમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. મહત્ત્વની વાત એ છે કે, થોડાક કેટલાક દિવસોથી પાર્કિંગ કોન્ટ્રાકટરની દાદાગીરીના અલગ અલગ વીડિયો સામે આવી રહ્યા છે. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. હવે આગામી દિવસોમાં રેલવે તંત્ર આવા કોન્ટ્રાક્ટર સામે શું પગલા લે તે જોવાનું રહ્યું. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની દાદાગીરીએ પ્રવાસીઓમાં નારાજગીશહેરના વિકાસ માટે વિશ્વસ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સુરત રેલવે સ્ટેશન પર કામો ઝડપથી ચાલી રહ્યા છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને અહીં 60 જેટલી ટ્રેનોને અટકાવવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. જોકે, આ વચ્ચે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના દિવસે દિવસ વિવાદો વધતા નજરે પડી રહ્યા છે. જેમાં ફરી એકવાર પાર્કિંગના કોન્ટ્રાકટરના કેટલાક કર્મચારીઓની દાદાગીરીએ પ્રવાસીઓમાં નારાજગી ફેલાવી છે.
પોરબંદર પોલીસની કામગીરી:વિશ્વાસઘાતનો આરોપી વડોદરાથી પકડાયો, બરડા ડુંગરમાંથી દારૂની ભઠ્ઠી મળી
પોરબંદર પોલીસે મહત્વની કામગીરી કરતા વિશ્વાસઘાતના કેસમાં નાસતા ફરતા આરોપીને વડોદરાથી ઝડપી લીધો છે. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં જીતેશ ઉર્ફે જીતેન્દ્ર જેતમલભાઈ રાણા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડે વડોદરાથી પકડી પાડ્યો હતો. બીજી તરફ, રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. થોરીયાનેશ વિસ્તારમાંથી 600 લીટર દેશી દારૂનો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.17,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી બધા નારણ કોડીયાતર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દરમિયાન, પોરબંદરમાં બે અપમૃત્યુના બનાવો નોંધાયા છે. છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતા 64 વર્ષીય રેખાબેન મુળજી રૂઘાણીએ માનસિક બીમારીથી કંટાળીને એસિડ પી આપઘાત કર્યો હતો. તેઓ છેલ્લા 28 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. બીજો બનાવ કુતિયાણા તાલુકાના દેવડા ગામે બન્યો હતો. જ્યાં લાખીબેન મુરૂભાઈ ગેરજાને વાડીના મકાનના રસોડામાં છાશ બનાવતી વખતે ઇલેક્ટ્રિક મોટરનો વીજ શોક લાગતા મૃત્યુ થયું હતું.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તેની 100 વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે. શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત ખટોદરા કોલોની સ્થિત શાળા ક્રમાંક 45, 46 અને 275 ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 16 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 11 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દંડક રાજેન્દ્રકુમાર પટેલ, ખરીદ સમિતિના કન્વીનર ડૉ. અનુરાગભાઈ કોઠારી અને વિસ્તારના કોર્પોરેટર રાજેશભાઈ રાણા પણ જોડાયા હતા. ભારતીબેન વાઘેલા, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વાલીઓ, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે શાળા પરિસરની સફાઈ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ બે અસહાય વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. પહેલો કિસ્સો રાજસ્થાનના ઝાલોર જિલ્લાના 45 વર્ષીય કિશોર રાજપુતનો છે. તેઓ જુલાઈમાં કામ અર્થે ભરૂચ આવ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશન પાસે અકસ્માતમાં ઘાયલ થયા બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવક હિમાંશુ પરીખે સારવારની જવાબદારી લીધી. ડો.કુણાલ ચાંપાનેરીની ટીમે સફળ ઓપરેશન કર્યું. કિશોરભાઈ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચાલતા થયા છે. સંસ્થાએ તેમને તેમની માતા અને પરિવાર સાથે રાજસ્થાનમાં મિલન કરાવ્યું હતું. બીજો કિસ્સો ભરૂચના દાંડિયા બજાર વિસ્તારના 55 વર્ષીય દિનેશ રાણાનો છે. તેઓ ભરૂચ રેલવે સ્ટેશન પર અનાથ અવસ્થામાં મળ્યા હતા. સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ શૈલેષ પિલ્લઈએ સેવાયજ્ઞ સમિતિને જાણ કરી. સંસ્થાએ તેમને ઘરડાઘરમાં આશ્રય અને યોગ્ય સારવાર આપી. હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને ઘરડાઘરમાં સેવા આપવાનો સંકલ્પ કર્યો છે. સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો નિયમિત રીતે અનાથ અને અસહાય લોકોને તેમના વતન સાથે જોડે છે. જેમના કોઈ સગા-સંબંધી નથી, તેમને સંસ્થા પોતાના માવતર સમજી જીવનભર સંભાળ રાખે છે.
સુરતના ભટાર વિસ્તારમાં આવેલી એક કિડ્સ પ્રિ-સ્કૂલની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર અઢી વર્ષનું એક બાળક સ્કૂલના પહેલા માળેથી નીચે ઉતરીને રોડ પર ચાલ્યું ગયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેણે વાલીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે.બીજી બાજુ સમગ્ર ઘટના અંગે ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રથમ માળેથી બાળક નીચે ઉતરી ગયું છતાં સંચાલકોને ખબર ન પડીઆ ઘટનામાં, ભટારમાં આવેલી કિડ્સ પ્રિ-સ્કૂલમાં ભણતું એક અઢી વર્ષનું માસૂમ બાળક શાળામાંથી એકલું જ બહાર નીકળી ગયું. તે કોઈના ધ્યાન બહાર પહેલા માળેથી નીચે ઉતરીને સ્કૂલની બહાર મુખ્ય માર્ગ પર ચાલવા લાગ્યું. સદનસીબે, રસ્તા પરથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકોની નજર આ બાળક પર પડી. તેમને આશ્ચર્ય થયું કે આટલું નાનું બાળક એકલું રોડ પર શું કરી રહ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક બાળકની સુરક્ષા માટે તેને રોડ પરથી દૂર કર્યું અને સ્કૂલ સુધી પહોંચાડ્યું.જો આ બાળક વધુ આગળ ગયું હોત, તો કોઈ વાહન અકસ્માતનો ભોગ બની શક્યું હોત, જેનાથી મોટી દુર્ઘટના સર્જાઈ હોત. અમે પ્રિ-સ્કૂલને ફી શેની આપીએ છીએ- માતાઆ ઘટનાથી ભયભીત અને રોષે ભરાયેલા માતાએ જણાવ્યું કે, મને એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું કે તમારો દીકરો સ્કૂલમાંથી બહાર નીકળી ગયો છે અને રોડ પર આવી ગયો છે. આ અંગે ટીચરને કોઈ ખબર પણ નહોતી. આ શાળાની ઘોર બેદરકારી છે. જો મારા બાળકનો અકસ્માત થઈ ગયો હોત તો? અથવા કોઈ તેને ઉપાડી ગયું હોત તો?સીસીટીવી ફૂટેજ સામે આવતા અને સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં, જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટના બાદ બાળકની માતાએ સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આવી બેદરકાર સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાએ નાનાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓની ચિંતામાં વધારો કર્યો છે.
અમદાવાદમાં બાવન-22 ગામ કડવા પાટીદાર સમાજે બીજી વખત નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં કિરણ પટેલ અને તેમની ટીમે ગરબાની રમઝટ બોલાવી હતી. સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ અવસર પર સમાજના આગેવાનોએ એક મહત્વપૂર્ણ પહેલ કરી હતી. તેમણે સમાજના તમામ સભ્યોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રતિજ્ઞા દ્વારા સમાજ દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ કર્યો છે.
દિલ્હીમાં સિદ્ધપુરના પૂજારીનું સન્માન:શક્તિમ્બિકા મંદિરના રાજેન્દ્ર દવેને માનદ ડોક્ટરેટ એનાયત
સિદ્ધપુર ઉપલીશેરીના રહેવાસી અને પાસવડલ સ્થિત શક્તિમ્બિકા માતા મંદિરના મુખ્ય પૂજારી રાજેન્દ્ર દવેને વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું છે. દિલ્હીના ડૉ. આંબેડકર ભવન ખાતે આયોજિત ડાયનેમિક એક્સેલન્સ એવોર્ડ કાર્યક્રમમાં તેમને માનદ ડોક્ટરેટની પદવીથી નવાજવામાં આવ્યા છે. લિજેન્ડરી પીસ એવોર્ડ્સ કાઉન્સિલ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે. રાજેન્દ્ર દવે, જેઓ રાજુભાઈ તરીકે પણ જાણીતા છે, તેમને મંદિર વ્યવસ્થાપન અને જ્યોતિષ ક્ષેત્રમાં આપેલી વિશેષ સેવાઓ માટે આ સન્માન મળ્યું છે. ગૌતમ ગોત્ર બ્રાહ્મણ સમાજના કુળદેવી શક્તિમ્બિકા માતા મંદિરના સંચાલક તરીકે તેમની સેવાઓને બિરદાવવામાં આવી છે. ગૌત્રીબંધુ વિનોદ રમણલાલ દવેએ આ સન્માન અંગે માહિતી આપી હતી. સમગ્ર ગૌતમ ગોત્ર બ્રાહ્મણ સમાજે રાજેન્દ્ર દવેના આ સન્માન પર હર્ષની લાગણી વ્યક્ત કરી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બુલેટ બાઇક પર મોડિફાઇડ સાયલન્સર લગાવીને બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ગોધરાના એડવોકેટ રમઝાની જુઝારાએ આ મુદ્દે પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગોધરા શહેરમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના ધાર્મિક સ્થળો, શાળાઓ, હોસ્પિટલો અને જાહેર માર્ગો પર બુલેટ ચાલકો મોડિફાઇડ સાયલન્સર સાથે બેફામ વાહન ચલાવે છે. આ ચાલકોમાં સગીર વયના બાળકો પણ સામેલ છે. તેઓ ફટાકડા ફોડીને અને મોટા અવાજ સાથે વાહન ચલાવીને પોતાના તેમજ રાહદારીઓના જીવને જોખમમાં મૂકે છે. એડવોકેટ જુઝારાએ માંગ કરી છે કે આવા બુલેટ ચાલકો અને સગીર વયના બાળકોના વાલીઓ સામે કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. સાથે જ દંડની વસૂલાત પણ કરવામાં આવે. તેમણે વધુમાં સૂચન કર્યું છે કે પોલીસે ડ્રાઇવ હાથ ધરીને આવા બુલેટ બાઇક્સને ડિટેઇન કરવા જોઈએ, જેથી શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડી શકાય.
પાટણમાં 5 ઓક્ટોબરે પિન્ક પરેડ:કેન્સર જાગૃતિ માટે આનંદ સરોવરથી શરૂ થશે, નિષ્ણાતો કરશે માર્ગદર્શન
રોટરી ક્લબ ઓફ પાટણ, આસ્થા કિડની હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કર અને 100 નચિકેતા ફાઉન્ડેશનના રવિભાઈ પટેલના સહયોગથી પિન્ક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ 5 ઓક્ટોબર, 2025ના રોજ આનંદ સરોવરથી શરૂ થશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્તન અને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો છે. પરેડ આનંદ સરોવરથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. ત્યારબાદ ફરી આનંદ સરોવર ખાતે સમાપન થશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, ખાસ કરીને મહિલાઓના જોડાવાની અપેક્ષા છે. પરેડના સમાપન બાદ આનંદ સરોવર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે. આરોગ્ય નિષ્ણાતો અને પ્રેરક વક્તાઓ સ્તન અને સર્વાઇકલ કેન્સરના લક્ષણો, નિવારણ અને ઉપચાર વિશે માહિતી આપશે. આ સેશનમાં કેન્સર સામે લડી રહેલા દર્દીઓની પ્રેરક ગાથાઓ પણ રજૂ થશે. રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ડૉ. પરિમલ જાનીના જણાવ્યા મુજબ, કેન્સર વિશેની જાણકારીનો અભાવ મહિલાઓના જીવન માટે જોખમી સાબિત થાય છે. તેમણે કહ્યું કે દરેક મહિલા તેના સ્વાસ્થ્ય વિશે જાગૃત બને અને નિયમિત તપાસ કરાવે તે માટે આ પ્રયાસ છે. આયોજકોએ પાટણના તમામ નાગરિકો, યુવાનો અને મહિલાઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. આ કાર્યક્રમ મહિલાઓના સ્વાસ્થ્ય અને તેમના અધિકારો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવશે.
થાનગઢમાં આવેલી શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આકસ્મિક તપાસણી કરી હતી. તપાસણી દરમિયાન સોનોગ્રાફી વિભાગમાં અનેક ગેરરીતિઓ મળી આવી હતી. હોસ્પિટલના સંચાલકે સોનોગ્રાફી મશીનમાં કોઈ તપાસ ન થયાનો દાવો કર્યો હતો. જોકે, CHC હોસ્પિટલના અનુભવી ગાયનેક ડૉક્ટરની તપાસમાં 5 દર્દીઓની સોનોગ્રાફી થયાનું બહાર આવ્યું. આ પૈકી માત્ર બે દર્દીઓના Form-F મળ્યા, જેમાં પણ છેકછાક જોવા મળી હતી. તપાસણીમાં અન્ય ગંભીર ક્ષતિઓ પણ મળી આવી. હોસ્પિટલમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. ફોર્મ-B માં વેલિડિટીની વિગતો ખાલી હતી. શિશુની જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ અંગેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. ડૉ. ગૌતમ ગવાણીયાની Form-F માં સહી મળી આવી, પરંતુ તેમના દ્વારા સોનોગ્રાફી કર્યાના કોઈ આધાર રજૂ કરવામાં આવ્યા નથી. વધુમાં, હોસ્પિટલમાં ક્વોલિફાઈડ સ્ટાફ હોવાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા નથી. આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં લઈને નાયબ કલેક્ટરે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન સીલ કરી દીધું છે. ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન અનુસાર, સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે ચોટીલા, થાનગઢ અને મુળી તાલુકાની હોસ્પિટલોની દેખરેખ માટે નાયબ કલેક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ત્રણ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન થયું છે. પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાશે. આરોગ્ય વિભાગ અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પને ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવે તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ હેતુથી વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં નવાં કલાત્મક સ્થાપત્યોનું ઉદ્ઘાટન થયું છે, જે ગુજરાતની સંસ્કૃતિ, સ્વતંત્રતાની લડત, અને ભવ્ય વારસાને ઉજાગર કરે છે. આ સ્થાપત્યો ટર્મિનલ 2 પર મુસાફરોને પોતાની સંસ્કૃતિ યાદ કરાવશે. મુખ્ય 3 થીમ પર આધારિત સ્થાપત્યો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવી કલાકૃતિઓ, પિત્તળની પટ્ટીથી નવરાત્રિ અને ઉત્તરાયણ જેવી 3D સ્થાપના અને પતંગો જે સ્ટીલ, પિત્તળ દ્વારા બનાવવામાં આવી છે. ત્રણ મુખ્ય થીમ પર આધારિત સ્થાપત્યો JUSE અને QCFI તરફથી પ્રતિષ્ઠિત 5S સર્ટિફિકેશન મળ્યુંSVPI એરપોર્ટ જે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા સંચાલિત છે. SVPI 987 એકરમાં ફેલાયેલું છે અને FY 2024-25માં 13.3 મિલિયન મુસાફરોને સેવા આપી છે. 2025માં તેને JUSE અને QCFI તરફથી પ્રતિષ્ઠિત 5S સર્ટિફિકેશન મળ્યું અને તે ભારતમાં એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા લેવલ 4 માન્યતા પ્રાપ્ત કરનાર ત્રીજું એરપોર્ટ બન્યું.
અમદાવાદમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રના ત્રણ લોકોએ વેપારીને 32 કરોડનો સેનિટાઈઝર સપ્લાયનો કરાર અપાવવાની લાલચ આપી 18 લાખની લૂંટ ચલાવી. કોન્ટ્રાક્ટ અપાવવા રક્ષા મંત્રી, IAS અને અન્ય બીજા અધિકારીઓને પૈસા આપવા પડશે એમ કહીને 15 લાખ રૂપિયા અને બાકી બીજા 3 લાખ લીધા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓને પૈસા આપવા પડશે એવુ બહાનુ બનાવી વેપારી પાસેથી પૈસા પડાવ્યાએક વેપારીને ભારત સરકારના રક્ષા મંત્રાલયના બનાવટી ઓર્ડર અને RBIના ખોટા દસ્તાવેજો બતાવીને 32 કરોડનો સેનિટાઈઝર સપ્લાયનો કરાર અપાવવાની લાલચ આપી 18 લાખ રૂપિયા લઈને છેતરપિંડી કરાઈ હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર રાજસ્થાન અને મહારાષ્ટ્રના ત્રણ લોકોએ રક્ષા મંત્રી અને અન્ય અધિકારીઓને પૈસા આપવા પડશે એવુ બહાનુ બનાવી વેપારી પાસેથી રકમ હડપી લીધી હતી. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રક્ષા મંત્રાલયમાં દર મહિને 10 લાખ સેનિટાઈઝરની બોટલો આપવાના ઓર્ડરની ઇન્કવાયરી કરીપાલડી વિસ્તારમાં સુયશ-2 ખાતે રહેતા તપન શાહ આનંદ નગર ટાઈટેનિયમ સીટી સેન્ટર ખાતે હોમકેર પ્રોડક્ટનો વ્યવસાય કરે છે. વર્ષ 2022માં રાજસ્થાનના આબુરોડ ઓફિસ ધરાવનારા સારસસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ ફોન કરીને રક્ષા મંત્રાલય દર મહિને 10 લાખ જેટલી બોટલો આપવા માટે ઓર્ડરની ઇન્કવાયરી કરી હતી, જેથી તેઓ રાજસ્થાનના આબુરોડ ખાતે મળવા ગયા હતા. એક વર્ષ માટે બોટલના 18 રૂપિયા પ્લસ GST સાથે ઓર્ડર લેવાની વાત કરી હતી પરંતુ, બીજા અધિકારીઓને આપવા પડશે એમ કહી અને 28 રૂપિયા અને GSTનો ભાવ આપવાનું કહ્યું હતું. બાદમાં તેણે કહ્યું હતું કે, મારા મિત્ર કુશલ મહેતા અને મૌનીશ શાહ દ્વારા ઓર્ડર માટે વાતચીત કરી છે. દિલ્હી ખાતે એક બોટલનું સેમ્પલ મોકલી આપવામાં આવ્યું હતું. ઓર્ડર મેળવવા માટે અમુક પૈસા ગવર્મેન્ટના એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશેબોટલનું સેમ્પલ મોકલ્યા બાદ ટેસ્ટિંગ માટે ₹35,000ની માંગણી કરી હતી પરંતુ, ઓર્ડર મળ્યા બાદ આપીશ એવું તપને કહ્યું હતું. ઓર્ડર મેળવવા માટે કેટલાક પૈસા ગવર્મેન્ટના એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે એમ કહી અને ₹30,000 એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા, બાદમાં 15 લાખ રૂપિયા એડવાન્સ આપવા પડશે એવી વાત કરી હતી પરંતુ, દિલ્હી ખાતે જ્યારે મિટિંગ કરી ત્યારે આ પૈસા અત્યારે નહીં પરંતુ, ઓર્ડર મળ્યા પછી જમા કરાવીશ એવું કહી અને નીકળી ગયા હતા. 32 કરોડ રૂપિયાનો ઓર્ડર છે જેથી તમારા 16 લાખ તમને ખાતામાં મળશે એમ કહીને દિલ્હી આવીને ચેક લઈ જવાનું કહેતા તેઓ દિલ્હી ખાતે ગયા હતા અને ત્યાં કેન્સલ ચેક જમા કરાવ્યો તેમજ RBIની ટેકનોલોજીમેન્ટ કોપી પણ આપવામાં આવી હતી, જેમાં સહી સિક્કા કરવામાં આવેલા હતા. 60 દિવસમાં એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે એવું કહ્યું હતું. વેપારી સાથે રક્ષા મંત્રાલયના નામે છેતરપિંડી કરાઈવેપારીએ 32 કરોડનો ઓર્ડર મળવાનો હોવાથી અલગ-અલગ પ્રિન્ટિંગ મશીન અને બોટલ સાથેનું 40 લાખનું રોકાણ કરી દીધું હતું. ત્યારબાદ તેમણે આ ઓર્ડર માટે અવારનવાર પૈસા જમા ન થયા અને તમામ બાબતે વાતચીત કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. દિલ્હી અને મુંબઈ ખાતે પણ આ બાબતે બેઠક કરી અને વાતચીત કરી હતી પરંતુ, પૈસા ન આપ્યા. રક્ષા મંત્રાલયના નામે છેતરપિંડી થયો હોવાની જાણ થતા આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના હરણી વારસીયા રિંગ રોડ પર આવેલા સવાદ ક્વાર્ટર્સમાં મિત્રને મળવા આવેલા ખોડીયારનગરના યુવક સાથે જૂની અદાવત રાખી ચાર માથાભારે શખસે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ત્રણે યુવકને પકડી રાખ્યો હતો અને એક શખસે ઉપરાછાપરી ચાકુના ત્રણથી ચાર ઘા ઝીંકયા હતા. આ ગંભીર ઘટનામાં જીવલેણ હુમલો કરતા યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પછડાયો હતો. આ ઘટના સમયે લોકટોળું ભેગા થઈ જતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. વારસીયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. યુવકને ત્રણથી ચાર છરીના ઘા માર્યાવડોદરા શહેરના હરણી વારસીયા રિંગ રોડ ઉપર રહેતા મિત્રોને ખોડીયારનગરનો ગૌરવ હરે રામસિંગ 15 સપ્ટેમ્બરની રાતે મળવા માટે આવ્યો હતો. તે દરમિયાન તેનો પીછો કરીને આવેલા ચાર જેટલા અસામાજિક તત્વો સવાદ કવાટર્સમાં ધસી આવ્યા હતા અને યુવક સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ફરી મારામારી કરી હતી. ત્યારબાદ યુવકને ત્રણ જેટલા શખ્સો પકડી રાખ્યો હતો, એક જણાએ ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને ઉપરા છાપરી ત્રણથી ચાર ઘા મારી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયોપરિવારજનોને ઘટના બાબતે જાણ થતાં તેઓ એસએસજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હુમલાખોરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વારસિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચાર હુમલાખોરોને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હુમલાખોર સંકેત રાજ ઉર્ફે કાછિયો, સુમિત મકવાણા, મિતેશ શર્મા અને વિશાલ ઉર્ફે ખારીએ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓેને ઝડપી પાડવા કવાયત શરૂ કરીઆ અંગે વારસીયા પોલીસ મથકના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ટી. એ. દેસાઈએ જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદ નોંધી ગુનાની જગ્યાએ પંચનામુ કરવામાં આવ્યું છે. યુવકને ત્રણથી ચાર ઘા વાગ્યા છે અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વિજાપુર તાલુકા પ્રાથમિક શાળા શિક્ષક સંઘ, જિલ્લા પ્રાથમિક શાળા શિક્ષક સંઘ, આરોગ્ય કર્મચારીઓ, APMC ભાજપ સંગઠન અને સમગ્ર વહીવટી તંત્ર અને વોલન્ટરી બ્લડ બેંક સયુંકત ઉપક્રમે રોટરી ક્લબ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મ દિવસને લઈ 375 જેટલી બોટલ એકઠી કરવામાં આવી હતી. આ અંગે ધારાસભ્ય સીજે ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને તાલુકામાં યાદગાર બનાવવા માટે એકઠી કરાયેલી લોહીની બોટલો લશ્કરના દવાખાને તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે સરકારી દવાખાને સહિત જ્યાં જ્યાં લોહીની જરૂરિયાત વાળા સ્થળોએ મોકલી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રક્ત દાન કેમ્પમાં ડેપોના કર્મચારીઓ શિક્ષણ વિભાગના શિક્ષક મિત્રો આરોગ્ય કર્મીઓ સહિત કર્મચારીઓના મંડળો જોડાયા હતાં અને વડાપ્રધાનના જન્મ દિવસને યાદગાર બનાવ્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના રંગભવન હોલમાં પોષણ ઉત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું. આઈ.સી.ડી.એસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટણ અને સરસ્વતી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો. કાર્યક્રમમાં ટેક હોમ રાશન અને મિલેટ (શ્રીઅન્ન)માંથી બનાવેલી પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ. બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે આંગણવાડી કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે બાળકોને કુપોષણમુક્ત બનાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, ભાવેશભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો અને પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત આંગણવાડીની મુખ્ય સેવિકાઓ, કાર્યકરો, ICDS અધિકારીઓ, કર્મચારીઓ અને આંગણવાડીના બાળકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી.
પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું સમાપન થયું છે. આ તાલીમ વર્ગ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુમ્બેના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલીમ દરમિયાન યુવાનોને રહેવા-જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. દરરોજ સવારે અને સાંજે એક-એક કલાક પોલીસ વિભાગના ADI દ્વારા ફિઝિકલ તાલીમ આપવામાં આવી હતી. દિવસ દરમિયાન નિષ્ણાત શિક્ષકો દ્વારા જનરલ નોલેજ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને કોમ્પ્યુટરના વર્ગો લેવામાં આવ્યા હતા. જિલ્લા રોજગાર અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું કે આ યોજનાથી યુનિફોર્મ સેવાઓમાં બનાસકાંઠાના યુવાનોનું પ્રતિનિધિત્વ વધશે. તેમણે યુવાનોને સતત અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલે આર્મીને માત્ર નોકરી નહીં પરંતુ એક જુનૂન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આર્મીમાં જોડાવા માટે દિલથી મહેનત કરવી જરૂરી છે. આર્મીની નોકરી સમાજમાં એક આગવી ઓળખ અને સન્માન અપાવે છે. તાલીમાર્થીઓને હાજરીના આધારે દૈનિક 100 રૂપિયા લેખે મહત્તમ 3000 રૂપિયા DBT મારફતે ચૂકવવામાં આવશે. સમાપન કાર્યક્રમમાં તમામ તાલીમાર્થીઓને આર્મી-CRPF તૈયારી માટેનું પુસ્તક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.