SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

1 એપ્રિલે મતદાર યાદી ફાઈનલ:રાજ્ય ચૂંટણી આયોગે સમયપત્રક જાહેર કર્યું, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ તેજ થઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદીની વિશેષ પુનઃસમીક્ષા પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને 1 એપ્રિલ, 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની પ્રબળ શક્યતા મતદાર યાદી ફાઈનલ થતાની સાથે જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેથી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની પ્રબળ શક્યતા છે. આ દરમિયાન રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે અને ઉમેદવારોની પસંદગી તેમજ પ્રચાર વ્યૂહરચના પર કામ શરૂ કરી દીધું છે. મતદારોના નામ ઉમેરવાથી લઈને દૂર કરવાની કામગીરી પૂર્ણતાના આરેઆયોગના નિર્દેશ અનુસાર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાર યાદીની વિશેષ પુનઃસમીક્ષા હાથ ધરાઈ હતી. તેમાં નવા મતદારોના નામ ઉમેરવા, ભૂલો સુધારવા અને ડુપ્લિકેટ કે અયોગ્ય નામ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 1 એપ્રિલે અંતિમ મતદાર યાદી જાહેર થતાં જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવાશે. તેથી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઈપણ બેદરકારી સર્જાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશેરાજકીય દળોએ પણ આ સંકેતોને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી તેજ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગી, પ્રચારની વ્યૂહરચના અને સંગઠન મજબૂત બનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આયોગે તંત્રને સૂચના આપી છે કે, ચૂંટણી પૂર્વેની તમામ પ્રક્રિયાઓ સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ થાય તેની ખાતરી કરવી. કોઈ પણ પ્રકારની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 1 એપ્રિલે મતદાર યાદી ફાઈનલ થતાની સાથે જ રાજ્યમાં ચૂંટણીની ઘોષણાનો કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને રાજકીય માહોલ વધુ ગરમાશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 10:20 pm

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા:પૂર્વ મંત્રી વાસણભાઈ આહીરે સ્પષ્ટતા કરી

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ પર પૂર્વ મંત્રી અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણભાઈ આહીરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં વાસણભાઈ આહીરે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલની અછત અને ભાવવધારા અંગેની વાતોમાં કોઈ તથ્ય નથી. તેમણે ઉમેર્યું કે, નયારા જેવી એકાદ ખાનગી કંપની સિવાય અન્ય તમામ કંપનીઓ વાજબી ભાવે અને પૂરતા જથ્થામાં ઇંધણ પૂરું પાડી રહી છે. આ પ્રસંગે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાના નિર્ણયને આવકાર્યો હતો. વાસણભાઈએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના 145 કરોડ લોકોના હિતમાં જે રાહત આપી છે, તે બદલ તેઓ તેમનો આભાર માને છે. વાસણભાઈએ પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળના 8931 દિવસોના સેવાયજ્ઞની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, 'મેં તેમની સાથે મંત્રી તરીકે 8 વર્ષ કામ કર્યું છે. તેમણે ક્યારેય એક કલાકનો પણ આરામ કર્યો નથી. 'ચરેવેતી-ચરેવેતી'ના મંત્રને આત્મસાત કરીને તેઓ સતત દેશની સેવા કરી રહ્યા છે. લોકોની હાક સાંભળી મદદ માટે તૈયાર રહેવું એ તેમનો સ્વભાવ છે.'

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:49 pm

બોટાદના ચૌહાણ ચંદનબાને 'ગીતાભૂષણ' એવોર્ડ મળ્યો:700 શ્લોક કંઠસ્થ કરવા બદલ શિક્ષણમંત્રીની હાજરીમાં સન્માનિત કરાયા

બોટાદ જિલ્લાના અલાઉ ગામના ચૌહાણ ચંદનબા વનરાજસિંહને ભગવદ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરવા બદલ પ્રતિષ્ઠિત 'ગીતાભૂષણ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તરફથી રૂ. 51,000નું પુરસ્કાર પણ પ્રાપ્ત થયું છે. આ સન્માન ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની હાજરીમાં એક રાજ્યકક્ષાના સમારોહમાં કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષાના વિકાસ માટે ગુજરાત સરકારના સહયોગથી સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા 'યોજનાપંચકમ્' અમલમાં મુકાયું છે. આ યોજના અંતર્ગત ગીતા અને સુભાષિતોના જ્ઞાનને પ્રોત્સાહન આપવામાં આવે છે. સંપૂર્ણ ભગવદ ગીતા (700 શ્લોક) કંઠસ્થ કરનારને 'ગીતાભૂષણ' અને 100 સુભાષિતો યાદ કરનારને 'શતસુભાષિતપંડિતઃ' એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે શરૂ થયેલી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 100થી વધુ પ્રતિભાશાળી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ચૌહાણ ચંદનબા વનરાજસિંહએ પોતાના ગુરુ ધવલભાઈ ખાંડેકાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ સફળતા મેળવી હતી. તેમના કાકાશ્રી વનરાજસિંહ ડાભીનો પણ આ સિદ્ધિમાં અણમોલ સહકાર રહ્યો હતો. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આયોજિત રાજ્યકક્ષાના સમારોહમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને અન્ય મહાનુભાવોના હસ્તે ચૌહાણ ચંદનબા વનરાજસિંહને 'ગીતાભૂષણ'ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:37 pm

માછીમારોનો ઉદ્યોગપતિઓના પ્રવેશ સામે વિરોધ:રાજ્ય સ્તરીય સંમેલનમાં પરંપરાગત વ્યવસાય બચાવવા હાકલ

વલસાડના લીલાપોર ખાતે નેશનલ એસોસિએશન ઓફ ફિશરમેન (NAF) ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્ય સ્તરીય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી માછીમાર સમાજના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મત્સ્ય ઉદ્યોગમાં મોટા ઉદ્યોગપતિઓના પ્રવેશ સામે વિરોધ નોંધાવી, માછીમારોની પડતર સમસ્યાઓ અને સરકારની નીતિઓ સામે ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. NAFના રાષ્ટ્રીય મહામંત્રી રામકુમાર એડવોકેટે જણાવ્યું હતું કે, સરકાર મોટા મૂડીપતિઓને મત્સ્ય ઉદ્યોગમાં મહત્વ આપી રહી છે, જેના કારણે પરંપરાગત માછીમારોનો વ્યવસાય જોખમમાં મુકાયો છે. તેમણે વલસાડમાં બની રહેલા નવા બંદર ખાતે માછીમારો માટે અલગ જગ્યા ફાળવવાની માંગ કરી હતી, જેથી તેઓ સુરક્ષિત રીતે વેપાર કરી શકે. એડવોકેટે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકારની મત્સ્ય નીતિમાં કરાયેલા સુધારા માછીમારોના હિતમાં નથી. તેમણે લાઇન ફિશિંગ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી હતી. ડૉ.જી. કે. ભાન્જીએ માછીમારોને મળતા ડીઝલના દરમાં થયેલા વધારાને પાછો ખેંચવાની માંગ કરી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે જ્યારે માછીમારો અજાણતા અન્ય દેશોની સીમામાં પ્રવેશ કરે છે ત્યારે તેમની ધરપકડ થાય છે, જેમને છોડાવવા માટે સંગઠન સતત કાર્યરત છે. સરજૂ કેવટે માછીમારોને 40% ને બદલે 60% સબસિડી આપવાની માંગ કરી હતી. કૈલાશ નિષાદે NAFને કોળી, ટંડેલ, ભોઈ અને નિષાદ સહિતના તમામ મત્સ્યજીવી સમાજોના હક માટે લડતું એકમાત્ર સંગઠન ગણાવ્યું હતું. પૂર્વ મત્સ્ય મંત્રી કરસનભાઈ પટેલે માછીમારોને જાગૃત રહેવાની ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ જાગૃત નહીં થાય તો મોટી કંપનીઓ તેમનો પરંપરાગત વ્યવસાય છીનવી લેશે. NAF ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ દિનેશ ટંડેલ દ્વારા મુખ્ય અતિથિ ડૉ.ગજેન્દ્ર કિશન ભાન્જી, પૂર્વ ધારાસભ્ય રામકુમાર એડવોકેટ, વિજય વર્લીકર અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આશાબેન ભાન્જી, ડૉ. એમ. કે. તોમર અને વેદાંત એડવોકેટ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:36 pm

યુવાન સાથે રોકાણના નામે રૂ.1.48 કરોડની છેતરપિંડી:રાજકોટમાં દુબઈની કંપનીમાં રોકાણ કરવાથી 7 ટકા વળતરની લાલચ અપાઈ, શહેરમાં 3 સગીરાનું અપહરણ

રાજકોટમાં દુબઈની કંપનીમાં રોકાણના નામે યુવાન સહિતના લોકો સાથે રૂ.1,48,16,100 ની છેતરપિંડીની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના મવડી વિસ્તારમાં રહેતા દંપતિ અને તેના પુત્ર દ્વારા દુબઈની કંપનીમાં રોકાણ કરવાથી 5 થી 7 ટકા વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. જેથી રૂ.1.78 કરોડનું રોકાણ કર્યા બાદ વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં રૂ.26.77 લાખ આપ્યા હતા પરંતુ બાદમાં મૂળ મૂડી અને વળતર ન આપી વિશ્વાસઘાત કરતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે છેતરપિંડી કરનારાઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિરેન્દ્રસિંહ પરમારે આલાપ પામ રોડ પર ઇસ્કોન હાઇટસમાં રહેતા સાગરભાઇ ખુંટ , અરવિંદભાઇ ખુંટ અને જ્યોત્સાનાબેન ખુંટ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 29/08/2024 થી 01/10/2025 દરમિયાન આ કામના ફરીયાદીને સાગરભાઈએ પોતાની દુબઈ ખાતે M SHA INVESTMENT CONSULTANTS-FZCO ! છે તેવું કહ્યું હતું અને આ પેઢીમાં તમો રોકાણ કરો તો તમને 5 થી 7 ટકા વળતર મળશે તેમ વાત કરી હતી. જેથી સાગરભાઇ તેમજ તેમના પિતા અરવિંદભાઈ અને માતા જ્યોત્સનાબેનના એકાઉન્ટમા ફરીયાદી તથા અન્ય લોકોના બેંક મારફતે રૂ.1,74,93,500 નું પોતાની કંપનીમાં રોકાણ કરાવ્યું હતું. જેના બદલામાં ફરિયાદી વિરેન્દ્રસિંહ અને અન્ય રોકાણકર્તાઓનો વિશ્વાસ કેળવવા માટે રૂ.26,77,400 વળતર પેટે આપ્યા હતા. જોકે તે બાદ MSA INMISTMENT CONSULTANTS-FZCT પેઢીના નામે રોકાણ કરાવી રોકાણકારોને વળતર કે મુળ રોકાણ પરત નહી આપી વિશ્વાસઘાત કર્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે BNS ની કલમ 316(5),3(5) તથા ગુજરાત નાણાકીય સંસ્થાઓમાં થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમની કલમ 3 મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફ્લેટમાં 50% હિસ્સા મામલે જાનથી મારી નાખવાની ધમકી રાજકોટના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા અને નોકરી કરતા 47 વર્ષીય રોહીતસિંહ ડોડીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં દોલતસીંહ ડોડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તથા તેમને પત્નિએ પોતાના રાજશકતી એપાર્ટમેન્ટમાં ફલેટ નં.501 નો 50 % હીસ્સો દોલતસિંહને રૂ.17 લાખમાં આપવાનો કબ્જા વગરનો સાટાખત કરાવ્યો હતો. જે બાદ કોલમા સાટાખતા મુજબ ફરીને ફ્લેટ પેટે રૂપીયા આપ્યા ન હતા. જે બાદ નિયમ મુજબ સાટાખત રદ થયા હતા અને ફલેટનો કબ્જો તથા માલીકી હક્ક ફરિયાદીનો થઈ ગયો. આમ છતા 29 માર્ચના સવારે 10.54 વાગ્યે દોલતસીંહ ફરિયાદીના ફલેટ પર પહોંચ્યા હતા અને 50 ટકા હીસ્સો છે તેમ કહી કર્નીચરનુ કામ કરનારને તથા ફરિયાદીને ફર્નીચરનુ કામ કરવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે કલમ 351(3) મૂજબ ગૂનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવાગામ આણંદપરમાંથી 2, ભાવનગર રોડ પરથી 1 સગીરાનું અપહરણ રાજકોટમાં 3 સગીરાનું અપહરણ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. નવાગામ આણંદપરમાંથી 16 વર્ષની સગીરાનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો. જ્યારે અહીંથી જ અન્ય સગીરાનું પણ અપહરણ થઈ જતા કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત ભાવનગર રોડ ઉપર રહેતા 12 વર્ષની સગીર દીકરીને પ્રેમ જાળમાં ફસાવી સંજય અરૂણભાઈ ડોંડા નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો. જેથી આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:33 pm

બોટાદમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ:26 શાળાઓના 130થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

બોટાદ જિલ્લા કરાટે એસોસિએશન દ્વારા જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું નેતૃત્વ એસોસિએશનના પ્રમુખ લાલજીભાઈ રાઠોડે કર્યું હતું. બોટાદની 26 વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 4 થી 22 વર્ષની વયના 130 થી વધુ યુવા કરાટેકાઓએ ભાગ લીધો હતો. તેમણે પોતાની માર્શલ આર્ટ કૌશલ્ય, ટેકનિક અને શિસ્તનું પ્રદર્શન કરીને ઉપસ્થિત પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા હતા.સ્પર્ધાના અંતે, વિજેતાઓને મેડલ, પ્રમાણપત્ર, ટ્રોફી અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિજેતાઓ હવે આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ખેલદિલીથી ભરપૂર રહ્યો હતો, જેમાં સહભાગીઓએ ઉચ્ચ સ્તરની કુશળતા અને સમર્પણ દર્શાવ્યું હતું. સ્પોર્ટ કરાટે એસોસિએશને તમામ સહભાગીઓ અને વિજેતાઓને અભિનંદન પાઠવી તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:30 pm

માનસિક અસ્વસ્થ મહિલા પોલીસ વાન નીચે ઘૂસી જતા દોડધામ, VIDEO:લોકોએ વાન ઊંચી કરીને મહિલા બહાર કાઢી,લોકોએ કહ્યું- બંગાળીમાં વાત કરી કુરાનની માગણી કરી

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી મસ્જિદ નજીક અજાણી મહિલાએ હંગામા મચાવ્યો હતો. આ બનાવને પગલે પોલીસને જાણ કરતા કારેલીબાગ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે આવી પહોંચતા મહિલાએ પોલીસ વાન નીચે ઘૂસી ગઈ હતી. જો કે સ્થાનિકો અને પોલીસની મદદથી વાનને ઉંચી કરીને આ મહિલાને સુરક્ષિત બહાર કાઢી વધુ પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. નાગરવાડા વિસ્તારમાં મહિલાઓ હંગામો મચાવ્યોવડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં એક અજાણી મહિલાએ મોટો હંગામો મચાવ્યો હતો. નાગરવાડા શાક માર્કેટ પાસે આવેલી મસ્જિદ નજીક અજાણી મહિલાએ સૌપ્રથમ બંગાળી ભાષામાં વાત કરી હતી. સ્થાનિકોના કહ્યા મુજબ તેણે બંગાળી ભાષામાં વાત કરી કુરાનની માંગ કરી હતી. બાદમાં તેણે રોકકળ મચાવતા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને આ ઘટના અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરતા કારેલીબાગ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. PCR વાન નીચે ઘૂસી જતા લોકોએ વાન ઊંચી કરી બહાર કાઢીઆ મહિલાએ પોલીસને જોઈ હોબાળો મચાવી પોલીસ વાન નીચે ઘૂસી ગઈ હતી, જેના કારણે સ્થાનિકો અને પોલીસની મદદથી પોલીસ વાનને એક તરફથી ઊંચી કરી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી અને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા તેને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. જોકે આ દરમિયાન અજાણી મહિલા અને પોલીસ કર્મચારીઓ સાથે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ મહિલા બાંગ્લાદેશી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવીકારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, કારેલીબાગ પોલીસ મથકમાંથી મહિલા પોલીસ કર્મીઓ સાથેની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ મહિલા માનસિક રીતે બીમાર હતી તેને તેના ઘરનું સરનામું પૂછ્યું હતું. પરંતુ જણાવતી ન હતી. મસ્જિદની અંદર મહિલા ગઈ નથી, માત્ર ગેટ પાસે બેઠી હતી. હાલમાં આ માનસિક રીતે બીમાર મહિલાને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:14 pm

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે 10 મો પદવીદાન સમારોહ:12 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, 86 ગોલ્ડ મેડલ અને 42 પ્રાઈઝ એનાયત

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં 10માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. પદવીદાન સમારોહમાં અલગ-અલગ ફેકલ્ટીના 12 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણી, કુલપતિ ડો, ભરત રામાનુજ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહારાણી સંયુક્તાદેવી તેમજ વિવિધ ફેકલ્ટીના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 10માં પદવીદાન સમારોહનું ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજનઆજરોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં 10માં પદવીદાન સમારોહનું યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા અટલ ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરવશાળી સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ તથા કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નીમુબેન બાંભણીયા, કેબિનેટમંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ વિવિધ ફેકલ્ટીના પ્રોફેસરો અને પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે કુલ 12,704 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આર્ટસમાં 4,638, કોમર્સમાં 2,778, સાયન્સમાં 2,149, રૂરલ સ્ટડીઝમાં 1,434, મેનેજમેન્ટમાં 496, એજ્યુકેશનમાં 454 અને કાયદાશાસ્ત્રમાં 138 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો સાથે મેડિકલ, હોમિયોપેથી, ડેન્ટલ અને નર્સિંગ સહિત આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી. 22 સંશોધકોને પણ આ પ્રસંગે Ph.D. ની પદવી એનાયત કરવામાં આવીઆ સમારોહમાં કુલ 86 ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 52 વિદ્યાર્થિનીઓ અને 34 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 42 વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં 25 બહેનો અને 17 ભાઈઓનો સમાવેશ થાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે 22 સંશોધકોને પણ આ પ્રસંગે Ph.D. ની પદવી એનાયત કરવામાં આવી હતી. પદવીદાન સમારોહનું સમગ્ર આયોજન મહિલાશક્તિ દ્વારા કરવામાં આવ્યું હતુમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીમાં પદવીદાન સમારોહનું સમગ્ર આયોજન અને સંચાલન સંપૂર્ણપણે મહિલાશક્તિ દ્વારા કરવામાં આવ્યું હતુ, જેણે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત યુવક મહોત્સવ અને રમતગમતમાં પણ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા માનનીય પ્રવચન કર્યું હતુ. સામાજિક ઉત્તરદાયિત્વ માટે સમાજમાં કાર્યરત થશેઆ અંગે કુલપતિ ડો, ભરત રામાનુજ એ જણાવ્યું હતું કે, આજરોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત આયોજન હતું. એ દીક્ષાંત કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો.આપણા માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એ આનંદ અને ગૌરવની વાત કે આજના દીક્ષાંત કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને યુનિવર્સિટીના ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા અને એમનું દીક્ષાંત પ્રવચન પણ આજરોજ વિદ્યાર્થીઓને એમના આગલા જીવનની અંદર ખૂબ ઉપયોગી થાય એ પ્રકારનું દીક્ષાંત પ્રવચન રહ્યું.ખાસ કરીને એમના દીક્ષાંત પ્રવચનની અંદર પરમ ચૈતન્યનું સ્વરૂપ કોણ શું છે એને ધ્યાનમાં રાખીને ભૌતિક જીવન, ભૌતિક જગત અગત્યનું છે પણ એથી પણ આગળ જઈએ ને પરમ ચૈતન્ય બ્રહ્મનું સ્વરૂપ છે એ સૌથી અગત્યનું છે. મને એમ લાગે છે કે આ પ્રકારનું દીક્ષાંત પ્રવચન એ વિદ્યાર્થીઓના આગળના જીવનમાં જ્યારે એ સામાજિક ઉત્તરદાયિત્વ માટે સમાજમાં કાર્યરત થશે ત્યારે આ પ્રકારનું પ્રવચન એમને જીવનમાં ખૂબ જ ઉપયોગી રહેશે. આજના આજરોજ પદવી પ્રાપ્ત અને પદવી ધારણ કરનાર સૌ વિદ્યાર્થીઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. 12,000 વિદ્યાર્થીઓની ડીગ્રી ડિજિટલ લોકરમાં અમે અપલોડ કરી દીધી​લગભગ 12,000 વિદ્યાર્થીઓને આજે ડીગ્રી એનાયત થઈ. એટલું જ નહીં પણ આજરોજ આ 12,000 વિદ્યાર્થીઓની ડીગ્રી ડિજિટલ લોકરમાં અમે અપલોડ કરી દીધી, એટલે આજથી જ બધા વિદ્યાર્થીઓ 12,000 વિદ્યાર્થીઓ આજે પોતાની ડીગ્રી પ્રાપ્ત કરી શકશે. આ પ્રકારનું શ્રેષ્ઠ આયોજન અમારા કર્મચારીઓ અને ખાસ કરીને આ વર્ષે મારો એક પ્રયોગ હતો કે સમગ્ર કાર્યક્રમની અલગ-અલગ કમિટીઓમાં મહિલાઓ એટલે કે બહેનો જ કાર્યરત થાય અને એના દ્વારા આ સુંદર આયોજન અને સુંદર કાર્યક્રમ સફળ થયો એ માટે અમારા મહિલા કર્મચારી બહેનોને પણ હું ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:05 pm

ભારત વિકાસ પરિષદની વાર્ષિક સભા પાલનપુરમાં:ગુજરાત ઉત્તર પ્રાંતના 90થી વધુ સભ્યોએ ભાગ લીધો

ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંતની વાર્ષિક સાધારણ સભા પાલનપુરમાં યોજાઈ હતી. આ સભામાં ચિંતન કમિટી અને પ્રાંત પદાધિકારીઓના 90થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. રીજનલ પદાધિકારી અશ્વિન પારેખે વર્ષ 2026-27 માટે નવીન કારોબારીની જાહેરાત કરી હતી. આ નવીન કારોબારીમાં પ્રમુખ તરીકે કમલ આર. ચંદારાણા, મંત્રી તરીકે વિશ્વષ જોષી, ખજાનચી તરીકે દિલીપ પટેલ અને સંગઠન મંત્રી તરીકે પારસ એન. ખમારનો સમાવેશ થાય છે. રીજનલ પદાધિકારી અરવિંદ તુવર દ્વારા નવીન કારોબારીના તમામ સભ્યોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. મીટિંગના અધ્યક્ષ અને રીજનલ પદાધિકારી દિનેશ વોરા તેમજ અરવિંદ તુવર દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 8:49 pm

જામનગરમાં 8 PSIની આંતરિક બદલી:બુડાસણાને સિટી-એ ડિવિઝન પોલીસમાં મૂકાયા, SP ડો.રવિ મોહન સૈનીએ આદેશ કર્યા

જામનગર જિલ્લામાં ફરજ બજાવતા આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલી કરવામાં આવી છે. રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ આ બદલીના આદેશ કર્યા છે. આ બદલીઓમાં રીડર-ટુ-અધિક્ષક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ ટી.બી. બુડાસણાને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલવામાં આવ્યા છે. એરપોર્ટ સિક્યુરિટી શાખાના પીએસઆઈ જે.બી. મોરસાણીયાની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયાને લીવ રિઝર્વ શાખામાં મુકવામાં આવ્યા છે. રીડર-ટુ-લાલપુર વિભાગ શાખાના પીએસઆઈ વી.આર. જોરીયાની એરપોર્ટ સિક્યુરિટી ખાતામાં બદલી કરવામાં આવી છે. પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.ટી. મઠિયાને પણ લીવ રિઝર્વ શાખામાં બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત, જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ આર.એલ. કંડોરીયાની સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.બી. બરબસીયાને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે. જ્યારે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયાને લીવ રિઝર્વ શાખામાં બદલવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 8:22 pm

સંજાણમાં બાળકોના ઝઘડાએ મોટું રૂપ ઘારણ કર્યુ:ઉમરગામ પોલીસે મારામારીના વીડિયોના આધારે આરોપીઓને ધરપકડ કરી,કાયદાનું ભાન કરાવ્યું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે 25 માર્ચના રોજ બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ઉમરગામ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મારામારીમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 25 માર્ચે સંજાણ ગામમાં પાડોશમાં રહેતા બાળકો રમતા હતા ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદમાં વડીલોના હસ્તક્ષેપથી પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી. વિવાદ વકરતા બે પરિવારો વચ્ચે ખુલ્લેઆમ અથડામણ થઈ હતી. બંને પક્ષના લોકો લાકડા અને ડંડા લઈને એકબીજા પર હુમલો કરવા લાગ્યા હતા. આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ હતી અને તેઓએ પણ લાકડા વડે પ્રહાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ઉમરગામ પોલીસ સક્રિય બની હતી. પોલીસે વાઈરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે મારામારીમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી હિંસક પ્રવૃત્તિઓને કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. જાહેર શાંતિનો ભંગ કરનારાઓ સામે કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે. શાંત ગણાતા સંજાણ વિસ્તારમાં આ હિંસક ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી. જોકે, પોલીસે ઝડપી અને કડક કાર્યવાહી કરતા સ્થાનિકોએ પોલીસની કામગીરીને સમર્થન આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 8:20 pm

ગુરુ બ્રાહ્મણ સમાજની જિલ્લા કારોબારી બેઠકમાં નવી વરણી કરાઈ:જૂનાગઢ ભવનાથ તળેટીમાં ગુરુ બ્રાહ્મણ સમાજની સાધારણ સભા યોજાઈ: જિલ્લા પ્રમુખ,મહામંત્રી અને અન્ય હોદેદારોની સર્વાનુમતે વરણી

​જૂનાગઢની ગિરનાર તળેટી સ્થિત ભવનાથ ખાતે આવેલી લાલ સ્વામીની જગ્યામાં આજે રવિવારના રોજ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ જિલ્લા ઘટક-જૂનાગઢની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કારોબારીની મુદ્દત પૂર્ણ થતા રાજ્ય પ્રમુખ જે.વી. શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. જેમાં સમાજના ઉત્થાન અને સંગઠનને મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ​કાર્યક્રમની શરૂઆતમાં લાલ સ્વામીની જગ્યાના લઘુ મહંત પ્રવિણગિરિ મહારાજ અને ત્રિકમ સાહેબની જગ્યાના મહંત કાંતિબાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદાય લેતા પ્રમુખ રસિકભાઈ ધમ્મરે પાછલા બે વર્ષ દરમિયાન કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. આ તકે રાજ્ય પ્રમુખ જે.વી. શ્રીમાળીએ સમાજનું બંધારણ અને સંગઠનલક્ષી પ્રક્રિયા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ માટે સક્ષમ નેતૃત્વ જરૂરી છે. ​સભાના બીજા તબક્કામાં નવી વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સભ્યો દ્વારા પ્રમુખ તરીકે ચિરાગભાઈ કિશોરભાઈ ધમ્મર (ટીનમસ)ના નામની દરખાસ્ત મૂકવામાં આવતા તેમને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરાયા હતા. આ ઉપરાંત મહામંત્રી તરીકે જયદીપભાઈ નરશીભાઈ જોગેલ (કણજા) અને ખજાનચી તરીકે મનસુખભાઈ શામજીભાઈ રાબડીયા (જીંજરી)ની વરણી કરવામાં આવી હતી. ​નવનિયુક્ત ટીમને સમાજના સભ્યોએ અભિનંદન પાઠવી આગામી સમયમાં સામાજિક કાર્યો વધુ વેગવંતા બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજ્ય સંગઠન મંત્રી ડી.આર. ધોળકિયા અને કારોબારી સભ્ય વિજયભાઈ ગેડીયા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સામાજિક સમરસતાના વાતાવરણમાં સંપન્ન થયો હતો અને અંતે સૌએ સમૂહમાં બ્રહ્મ ભોજન લીધું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 8:19 pm

ભરૂચમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:કલેક્ટરે સમીક્ષા બેઠકમાં સ્પષ્ટતા કરી, અછતની કોઈ શક્યતા નથી

ભરૂચ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ સ્પષ્ટતા કરી હતી. બેઠકમાં ઈંધણ અને ગેસના અવિરત પુરવઠા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે અધિકારીઓને પેટ્રોલ-ડીઝલની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચે તે માટે વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. ગેસ પુરવઠાની સમીક્ષા દરમિયાન, એલપીજી સિલિન્ડરનો પૂરતો જથ્થો જાળવવા નિર્દેશો અપાયા હતા. નાગરિકોને સુરક્ષિત અને સુવ્યવસ્થિત પુરવઠા માટે પાઈપ નેચરલ ગેસ (PNG) અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલો, હોસ્ટેલો અને મધ્યાહન ભોજન કેન્દ્રો જેવા સ્થળોએ PNG કનેક્શન વધારવા પર પણ ભાર મુકાયો હતો. કલેક્ટરે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને ગેસના સ્ટોકનું દૈનિક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરી હતી. પુરવઠો સંતુલિત રહે તે માટે એક એલપીજી સિલિન્ડર બુક કરાવ્યા બાદ બીજા બુકિંગ વચ્ચે 25 દિવસનો ગાળો રાખવાનો નિર્ણય લેવાયો છે. કાળાબજાર અને અનાવશ્યક સ્ટોકિંગ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ અને ખાતરના જથ્થાની ઉપલબ્ધતા પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, પુરવઠા વિભાગના અધિકારીઓ, ઓઇલ કંપનીઓ અને ગેસ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 8:11 pm

ખાગેશ્રીમાં 108 ટીમે એમ્બ્યુલન્સમાં કરાવી જોખમી પ્રસૂતિ:શ્રમિક મહિલાએ જુડવા દીકરીઓને જન્મ આપ્યો, માતા-બાળકીઓ સ્વસ્થ

પોરબંદરમાં કુતિયાણા નજીક આવેલા ખાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં એક શ્રમિક મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સમયસૂચકતા વાપરી રસ્તામાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. આ પ્રસૂતિમાં મહિલાએ જુડવા દીકરીઓને જન્મ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, ખાગેશ્રીના વાડી વિસ્તારમાં રહેતી એક મહિલાને અસહ્ય પ્રસૂતિ પીડા થતા તાત્કાલિક 108 સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ખાગેશ્રી ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી. યોગેશ રાઠવા અને પાયલોટ સરમણભાઈ ચાવડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે પીડામાં વધારો થયો હતો અને કેસ જોખમી જણાતા ટીમે એમ્બ્યુલન્સને રસ્તામાં ઊભી રાખી પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. હેડ ઓફિસના ફિઝિશિયન ડો.રૂબી મેડમના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ ઈ.એમ.ટી. યોગેશ રાઠવાએ એમ્બ્યુલન્સમાં જ પ્રથમ દીકરીનો જન્મ કરાવ્યો હતો. કેસ જુડવા બાળકોનો હોવાથી સ્થિતિ ગંભીર હતી, છતાં 108ની ટીમે પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. ત્યારબાદ, પ્રસૂતાને વધુ સારવાર માટે પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં બીજી દીકરીનો જન્મ થયો હતો. હાલ માતા અને બંને બાળકીઓ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. 108 ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે, 108ની સેવા આધુનિક સમયમાં આશીર્વાદ સમાન છે. હાઈવે પર નવજાત બાળકીના રૂદનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે અમારા માટે ગર્વની ક્ષણ છે. આ સરાહનીય કામગીરી બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ સર અને જિલ્લા એક્ઝિક્યુટિવ દર્શક સર દ્વારા ખાગેશ્રી 108ની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 8:05 pm

પંચમહાલ ક્રિએટર્સ કોન્ક્લેવમાં 60+ ક્રિએટર્સ સન્માનિત:રાષ્ટ્ર નિર્માણ હેતુ જિલ્લા ભાજપે સોશિયલ મીડિયા ક્રિએટર્સને પ્રોત્સાહિત કર્યા

ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ અને જનજાગૃતિ ફેલાવવાના હેતુ સાથે પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે 'પંચમહાલ ક્રિએટર્સ કોન્ક્લેવ-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિએટિવિટીથી રાષ્ટ્ર નિર્માણ તરફના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના 60થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સે ભાગ લીધો હતો. કોન્ક્લેવ દરમિયાન જિલ્લાના પ્રતિભાશાળી ક્રિએટર્સનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું શક્તિશાળી માધ્યમ છે. ક્રિએટર્સને એકતા, સંવાદ, વિકાસ અને સામાજિક જાગૃતિ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ભાજપના પદાધિકારીઓએ ક્રિએટર્સ સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોને સોશિયલ મીડિયાના માધ્યમથી છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટ-અપ દ્વારા પંચમહાલના સ્થાનિક ક્રિએટર્સને તેમની પ્રતિભા દર્શાવવા માટે નવું પ્લેટફોર્મ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી હર્ષદ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ તેમજ મહામંત્રીઓ કુલદીપસિંહ સોલંકી અને નરેન્દ્રસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે સોશિયલ મીડિયા અને આઈટી વિભાગના પ્રભારી નિરવ પરમાર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રોનક રાઠોડ અને આઈટી ઇન્ચાર્જ ધવલ પરમારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:55 pm

રેલવેમાં નોકરી અપાવવાના બહાને 110 લોકો સાથે 59 લાખની ઠગાઈ:આરોપીએ બનાવટી ઓફર લેટર પણ આપી દીધા, વડોદરાના જીમ ટ્રેનરે ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી સહિતની ગેંગ દ્વારા જીમ ટ્રેનર સહિત 110 લોકોને કોકણ તથા પ્રતાપનગર રેલવેમાં નોકરી અપાવવાનું કહીને તેમની પાસેથી 58.98 રૂપિયા લાખ પડાવી લીધા હતા. વિશ્વાસ કેળવવા માટે રેલવેની નોકરીના બોગસ ઓફર લેટર પણ ઠગોએ આપી દીધા હતા. જીમ ટ્રેનરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. DRM ઓફિસના વર્કશોપમાં નોકરીની લાલચ આપીવડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલી વૈષ્ણવ કોટેશ્વર સોસાયટીમાં રહેતા સુનીલ કામડી જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. તેઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આકાશ સંજયભાઈ ચૌહાણ (રહે. ચિરાયુનગર સોસાયટી, દંતેશ્વર, વડોદરા) દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2025થી લોકોને કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડમાં કોન્ટ્રાક્ટમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રતાપનગર સ્થિત ડીઆરએમ ઓફિસના વર્કશોપમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી સુનીલ કામડી સહિત 110 લોકો પાસેથી ઓનલાઈન અને રોકડ મળી 58.98 લાખ રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી. પૈસાની માગણી કરતા પવાર સાહેબને આપ્યાનું કહ્યુંઆકાશ ચૌહાણે વિશ્વાસ કેળવવા માટે કોંકણ રેલ્વેના નામે બનાવટી ઓફર લેટર પણ આપ્યા હતા, પરંતુ નોકરી અપાવી ન હતી. ઘણો સમય થઈ ગયો હોય પરંતુ નોકરી નહીં અપાવતા તેમને શંકા જતા આકાશ ચૌહાણ પાસે રૂપિયા પરત માગ્યા હતા. ત્યારે આરોપી રૂપિયા પરત આપતો ન હતો. આરોપી આકાશ ચૌહાણે પોતે વસૂલ કરેલી રકમ ‘પવાર સાહેબ’ નામના વ્યક્તિને ટ્રાન્સફર કરી હોવાનું જણાવ્યું છે. જેના આધારે શંકા છે કે, આ સમગ્ર મામલામાં આકાશ ચૌહાણ તથા પવાર નામના વ્યક્તિ સહિત અન્ય ખાતાધારકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે બે સામે ગુનો નોંધ્યોઆરોપી આકાશ ચૌહાણ પવાર સહિતની ગેંગે ભેગા મળીને લોકોને નોકરી અપાવવાની લાલચ આપી ખોટા ઓફર લેટર બનાવી તેને સાચા હોવાનું દર્શાવી સુનીલ કામડી અને તેમના સગા-સંબંધીઓ અને મિત્રો દિલીપ સુર્યવંશી, કિશોર કામડી, મજૂર પવાર, શુભમ કોકણી, દીપક પડગુજર, રોહિત રતિલાલ સહિત 110 લોકોને નોકરી અપાવવાનું કહીને રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે આ મામલે આરોપી ચૌહાણ અને પવાર નામના વ્યક્તિ સહિત અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:47 pm

મોડાસાના કલ્યાણ ચોકમાં નિઃશુલ્ક છાશ પરબ શરૂ:જલારામ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં રાહત આપવા પહેલ

મોડાસા શહેરમાં જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલ્યાણ ચોક ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ, વાહનચાલકો અને શ્રમિકોને રાહત આપવાના હેતુથી આ સેવા શરૂ કરાઈ છે. આ પરબમાં ઠંડા પાણી ઉપરાંત ઠંડી છાશ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. મોડાસા મીની ઊંઝા ધામ ઉમિયા મંદિરના વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીના હસ્તે આ સેવાકીય પ્રવૃત્તિનો શુભારંભ થયો હતો.ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઠંડા પાણીની સેવા કાર્યરત હતી. ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પારેખ અને અન્ય ટ્રસ્ટીઓના સદવિચારથી આ વર્ષે ઠંડા પાણીની સાથે ઠંડી છાશ પણ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રારંભ પ્રસંગે બાલકદાસજી મહારાજ, જીવદયા પ્રેમી નિલેશભાઈ જોષી, વિશ્વ હિન્દુ પરિષદ, અરવલ્લીના સંજય ભાવસાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલ સહિત મોડાસાની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ટ્રસ્ટની આ સેવાકીય કામગીરીને સરાહના મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:40 pm

બેટ દ્વારકાના હનુમાન દાંડી મંદિરે હનુમાન જ્યંતી કાર્યક્રમોની રૂપરેખા જાહેર:1 અને 2 એપ્રિલે વિજયમંત્ર અખંડ રામધૂન, પ્રાગટ્ય અને ધ્વજારોહણ થશે

બેટ દ્વારકાના પ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિરે હનુમાન જ્યંતી નિમિત્તે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સમિતિ દ્વારા આ કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા જાહેર કરવામાં આવી છે.જાહેર કરાયેલી રૂપરેખા મુજબ, તારીખ 1 એપ્રિલ, 2026 (બુધવાર) ના રોજ સવારે 10:00 વાગ્યે વિજયમંત્ર અખંડ રામધૂનનો પ્રારંભ થશે. આ રામધૂન સતત બે દિવસ સુધી ચાલશે.તારીખ 2 એપ્રિલ, 2026 (ગુરુવાર) ના રોજ સવારે 6:58 વાગ્યે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ઉત્સવ અને મહાઆરતી યોજાશે. ત્યારબાદ સવારે 10:00 વાગ્યે મંદિર પર ધ્વજારોહણ અને નિત્ય આરતી કરવામાં આવશે.સવારે 11:00 વાગ્યે અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા છે. મંદિર સમિતિના પ્રમુખ હેમભા વાઢેર દ્વારા હનુમાન જ્યંતી મહોત્સવમાં પધારતા તમામ ભક્તોને મહાપ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.હનુમાન જ્યંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે આવે તેવી શક્યતા છે. આથી, મંદિર સમિતિ દ્વારા ભક્તોની સુવિધા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:38 pm

મોરબીમાં યુવાને 5 લાખ સામે ₹7.90 લાખ ચૂકવ્યા:છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં એક યુવાને વેપાર માટે વ્યાજે લીધેલા પાંચ લાખ રૂપિયા સામે 7.90 લાખ ચૂકવી દીધા હોવા છતાં, બે વ્યાજખોરો દ્વારા તેની પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. ભોગ બનેલા યુવાનની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના મોરબીની ઉમા ટાઉનશીપમાં બની છે. ઉમા ટાઉનશીપમાં મંગલ જ્યોત હોમ્સ 1 ખાતે રહેતા અનિલભાઈ ચંદુભાઈ જાકાસણીયા (ઉંમર 35) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ચિરાગભાઈ સંઘાણી (રહે. ગોલ્ડન માર્કેટ પાસે, રવાપર) અને સુરેશભાઈ કાથાલાલ રાયકા (રહે. મોરબી) સામે આક્ષેપો કર્યા છે. અનિલભાઈએ જણાવ્યું કે તેમને વેપાર માટે પૈસાની જરૂર હતી. તેમણે ચિરાગ સંઘાણી પાસેથી 10 ટકાના વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા, જેની સામે તેમણે 2.50 લાખ રૂપિયા (મૂડી અને વ્યાજ સહિત) ચૂકવી દીધા છે. તેવી જ રીતે, સુરેશભાઈ રાયકા પાસેથી 10 ટકાના વ્યાજે ચાર લાખ રૂપિયા લીધા હતા, જેની સામે તેમણે 5.40 લાખ રૂપિયા (વ્યાજ અને મૂડી સહિત) ચૂકવી આપ્યા છે. કુલ પાંચ લાખ રૂપિયાના બદલે 7.90 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, સુરેશભાઈ રાયકા દ્વારા બંને આરોપીઓના પૈસાની ઉઘરાણી કરીને અનિલભાઈને ગાળો આપવામાં આવે છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:34 pm

ભાલકા-ભાલપરામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનો સર્વ રોગ કેમ્પ:નિષ્ણાત ડોક્ટરો દ્વારા મફત તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનું વિતરણ

સોમનાથ મતવિસ્તારમાં આરોગ્ય સેવાઓને ગ્રામ્ય સ્તરે પહોંચાડવાના હેતુસર ધારાસભ્ય વિમલ ચુડાસમા ની આગેવાની હેઠળ ભાલકા-ભાલપરા વિસ્તારમાં એક વિશાળ સર્વ રોગ નિદાન ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આરોગ્યલાભ મેળવ્યો હતો. આ વિસ્તારમાં આશરે 13 હજારથી વધુ વસ્તી વસે છે, જેમાં મોટાભાગે શ્રમિક વર્ગના લોકોનો સમાવેશ થાય છે. તેમના રોજિંદા કામકાજને ધ્યાનમાં રાખીને કેમ્પનો સમય સાંજે 5થી 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો, જેથી દરેક વ્યક્તિ સરળતાથી સારવાર મેળવી શકે. આ વિચારસરણીને કારણે કેમ્પમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજના સમયમાં આરોગ્ય ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે સામાન્ય નાગરિક માટે ગુણવત્તાસભર સારવાર મેળવવી મુશ્કેલ બની રહી છે. આ પરિસ્થિતિમાં મફત નિદાન, લેબ ટેસ્ટ અને દવાઓ સાથેનો આ કેમ્પ લોકો માટે આશીર્વાદ સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળે તે માટે તેમના કાર્યાલય ખાતે જનસુવિધા કેન્દ્ર પણ કાર્યરત છે. કેમ્પની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં કેન્સર, હાડકાં, સ્ત્રીરોગ, બાળરોગ, ન્યુરોલોજી સહિત વિવિધ ક્ષેત્રોના અનુભવી નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી. દર્દીઓને સ્થળ પર જ જરૂરી લેબોરેટરી તપાસ તેમજ દવાઓ આપવામાં આવતા કેમ્પ પ્રત્યે લોકોમાં ખાસ વિશ્વાસ અને સંતોષ જોવા મળ્યો હતો. કેમ્પમાં વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક ખોરાબા, તાલુકા પ્રમુખ હિરેન બમરોટિયા, મહિલા મોરચાના સંગીતાબેન ચાંડપા સહિત સમગ્ર કોંગ્રેસની ટીમના હોદેદારો અને કાર્યકરો દ્વારા કેમ્પમાં આવનાર દર્દીઓને ને કોઈ અગવડતા ન પડે તે માટે સતત ખડેપગે રહી સેવા આપી હતી. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનસુખ ગોહેલ,જ્યકર ચોટાઈ સહિત કોંગ્રેસના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાના નાગરીકોના આરોગ્ય માટે કરવામાં આવેલ સેવાયજ્ઞની સરાહના કરી હતી. આ પ્રકારના આરોગ્યલક્ષી કેમ્પો માત્ર સારવાર પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરે છે. “સેવા પરમો ધર્મ”ના સિદ્ધાંતને સાકાર કરતી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે અને ભવિષ્યમાં પણ આવા સેવાયજ્ઞો વધુ પ્રમાણમાં યોજાય તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે. આ કેમ્પમાં ડો. મુહમ્મદ ઓવૈસ જે. (સર્જિકલ ઓન્કોલોજિસ્ટ), ડો. કૃષ્ણાઉન્ની નાયર (ઓન્કો સર્જન), ડો. રવી ઝાલા (સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. અનુરાગ અજુડીયા (ઓર્થોપેડિક), ડો. હિતેષ જીમૂલીયા (હોમિયોપેથી), ડો. દિલીપ ચોચા (બાળરોગ નિષ્ણાત), ડો. સારંગ વાઘમારે (હિમેટોલોજિસ્ટ), ડો. એચ.એમ. પંપાણીયા (દંતચિકિત્સક), ડો. હાર્દીક મહેતા (ફિઝિશિયન), ડો. નકુલ પંપાણીયા (ન્યુરોફિઝિશિયન), ડો. સચિન સચદેવ (મેડિસિન નિષ્ણાત) તથા પ્રગતી લેબોરેટરીના હર્ષ એમ. પટેલીયા સહિતની ટીમ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:31 pm

વલસાડમાં ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:29 કેન્દ્રો પર યોજાઈ, 258 વિદ્યાર્થીઓ ગેરહાજર, ગેરરીતિનો એક પણ કેસ નહીં

વલસાડ જિલ્લાના 29 પરીક્ષા કેન્દ્રો પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ (GUJCET) 2026ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને આરોગ્ય વિભાગના સંકલનથી કોઈ અનિચ્છનીય બનાવ વગર પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ પરીક્ષામાં કુલ 258 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયમાં 7002 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 6744 હાજર રહ્યા, જ્યારે 258 ગેરહાજર રહ્યા. જીવવિજ્ઞાન વિષયમાં 4068 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 3900 હાજર રહ્યા અને 168 ગેરહાજર રહ્યા. ગણિત વિષયમાં 2970 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 2859 હાજર રહ્યા, જ્યારે 111 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરેક પરીક્ષા કેન્દ્રના મુખ્ય ગેટ પર વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. વર્ગખંડમાં બ્લોક સુપરવાઇઝરો દ્વારા હોલ ટિકિટ સાથે વિદ્યાર્થીઓની પુનઃ ચકાસણી કરાઈ હતી. તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હતા, જેનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું. આ કડક વ્યવસ્થાને કારણે જિલ્લામાં ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો નથી. કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રીબેન ટંડેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષાનું સુચારુ આયોજન કરાયું હતું. અગાઉથી જ શાળાઓમાં 'શિક્ષા કોષ્ટક' (ગેરરીતિ સામેના કડક નિયમો) અંગે પ્રચાર-પ્રસાર કરાયો હોવાથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:20 pm

જમીન વેરા વસૂલાતમાં 8 જિલ્લા કલેક્ટરના ઠાગાઠૈયા:3.33 કરોડ ચો.મી. જમીન કેસોમાં કેગ જવાબની રાહમાં, અમદાવાદમાં સૌથી વધુ 41 કેસ

રાજ્યમાં જમીન રૂપાંતર વેરા વસૂલાત અંગે કેગ (CAG) ઓડિટમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. કુલ 3,330,410.56 ચોરસ મીટર જમીન સંબંધિત કેસોમાં બિન અથવા ઓછી વેરા વસૂલાતના મુદ્દા સામે આવ્યા છે. ઓડિટ દરમિયાન 8 જિલ્લા કલેક્ટરો દ્વારા પ્રાથમિક જવાબોમાં વિવિધ બહાના રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ બીજી વખત પૂછાયેલા સવાલોમાં કેગને જવાબ જ આપવામાં આવ્યા નથી. હાલ કેગ બીજા જવાબોની રાહ જોઈ રહી છે. કુલ 134 જમીનના વિવિધ કેસોમાં જવાબ બાકી છે, જેમાંથી માત્ર 9 પૈકી 1 જ કલેક્ટરે પૂરતી વેરા વસૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ કલેક્ટરે AMC પાસેથી વેરો વસૂલાત થશે એવો જવાબ આપ્યોવિગતો મુજબ, અમદાવાદ જિલ્લામાં સાબરમતી રિવરફ્રન્ટ માટે 7,21,102 ચો.મી. જમીન (2020) માટે રૂ. 2.16 કરોડ વેરો વસૂલાયો નથી, જ્યારે કલેક્ટરે AMC પાસેથી વસૂલાત થશે એવો જવાબ આપ્યો હતો, પરંતુ 2025 સુધી કોઈ જવાબ મળ્યો નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 3961.56 ચો.મી. જમીન (2020 અને 2022) માટે રૂ. 6.33 લાખનો વેરો બાકી છે અને અન્ય વેરા સાથે વસૂલાશે એવો જવાબ આપ્યા છતાં હાલ સુધી કોઈ સ્પષ્ટતા નથી. બિન-ખેતી (NA) કેસોમાં 2,99,131 ચો.મી. જમીન (2020-22) માટે રૂ. 38.60 લાખની ઓછી વસૂલાત સામે આવી છે, જેમાં બોજાની નોંધ વખતે વસૂલાશે એવો જવાબ મળ્યો હતો, પરંતુ અંતિમ સ્થિતિ અજાણી છે. રાજકોટમાં AIIMS પ્રોજેક્ટ માટેની જમીનનો વેરો બાકીગાંધીનગરમાં લેન્ડફિલ સાઇટ માટે 3,10,554 ચો.મી. જમીન (2020-22) માટે રૂ. 66.57 લાખની ઓછી વસૂલાત નોંધાઈ છે. કચ્છ જિલ્લામાં રહેણાંક-કોમર્શિયલ માટે 49,132 ચો.મી. જમીન માટે રૂ. 25.99 લાખ તથા બહુહેતુક ઉપયોગ માટે 4021 ચો.મી. જમીન માટે રૂ. 10.11 લાખની ઓછી વસૂલાત સામે આવી છે. રાજકોટમાં AIIMS પ્રોજેક્ટ માટે 9,24,507 ચો.મી. જમીન (2019-2023) માટે રૂ. 60.27 લાખનો વેરો વસૂલાયો નથી અને ચકાસણી પછી જવાબ આપવાનો જણાવાયો છે. ભાવનગરમાં રૂ. 13.29 લાખનો વેરો બાકીસુરેન્દ્રનગર જિલ્લામાં 43 કેસોમાં 5,53,026 ચો.મી. જમીન (2018-2022) માટે રૂ. 34.09 લાખની ઓછી વસૂલાત નોંધાઈ છે. ભાવનગરમાં ડિસેલિનેશન પ્લાન્ટ માટે 2,21,417 ચો.મી. જમીન (2021) માટે રૂ. 13.29 લાખનો વેરો બાકી હતો, જેમાં વસૂલાત થઈ હોવાનું જણાવાયું છે. દાહોદ જિલ્લામાં 4 કેસોમાં 66,584 ચો.મી. જમીન માટે રૂ. 9.07 લાખની ઓછી વસૂલાત સામે આવી છે. પંચમહાલ જિલ્લામાં 17 કેસોમાં 1,26,899 ચો.મી. જમીન માટે રૂ. 9.45 લાખ, બોટાદમાં જવાહર નવોદય વિદ્યાલય માટે 1,21,410 ચો.મી. જમીન (2014) માટે રૂ. 7.28 લાખ તથા અમરેલીમાં GWIL ડિસેલિનેશન માટે 49,034 ચો.મી. જમીન (2020) માટે રૂ. 5.34 લાખના વેરા બાકી હોવાનું સામે આવ્યું છે. 134 કેસમાં કેગ હજુ જવાબની રાહમાંજિલ્લાવાર જોવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ 41 કેસ, સુરેન્દ્રનગરમાં 43 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, પંચમહાલમાં 17 કેસ, કચ્છમાં 6 કેસ, દાહોદમાં 4 કેસ અને ભાવનગર, બોટાદ અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે. આમ કુલ 134 કેસોમાં કેગ હજુ સુધી જવાબોની રાહ જોઈ રહી છે, જે રાજ્યની નાણાકીય શિસ્ત અને વહીવટી જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:10 pm

ભરૂચ વોર્ડ 6માં ₹4.46 કરોડના વિકાસ કાર્યો શરૂ:ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ, માર્ગ અને સુવિધાઓ પર ધ્યાન

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં કુલ 4.46 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે 30 વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે માર્ગ નિર્માણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક સુવિધાઓના વિસ્તરણને પ્રાધાન્ય અપાયું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વોર્ડના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવશે. વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે ચાર અલગ-અલગ એજન્સીઓ દ્વારા એકસાથે કામગીરી શરૂ કરવામાં આવશે. આનાથી પ્રોજેક્ટ સમયસર પૂરા થવાની શક્યતા છે. આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ ઉપપ્રમુખ અક્ષય પટેલ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિરલ પટેલ અને શહેર પ્રમુખ જતીન શાહ સહિત સ્થાનિક નગરસેવકો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વિકાસ કાર્યોને વેગ મળ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:29 pm

દુબઈમાં લાખોના પગારવાળી ડ્રાઈવરની નોકરી લેવામાં નડિયાદના યુવકો લૂંટાયા:એજન્ટે અમદાવાદથી મોકલ્યા, વિદેશ પહોંચતા જ પાસપોર્ટ જપ્ત; ગેસ્ટહાઉસમાં બે મહિના ગોંધી રાખ્યા

વિદેશમાં ડ્રાઈવરની નોકરી અપાવવાના લોભમાં લાખો રૂપિયા પડાવીને યુવકો સાથે છેતરપિંડી કરનાર ગેંગ સામે નડિયાદમાં ફરિયાદ નોંધાઈ છે. દુબઈમાં બાઈક રાઈડર તરીકે બે વર્ષના વર્ક વિઝા, મોટો પગાર, ફ્રી રહેવા-જમવા અને ટુ વ્હીલર લાયસન્સ આપવાની લાલચ આપી ‘ફાઇવટેક ઇન્ટરનેશનલ સર્વિસ’ કંપનીના આરોપીઓએ યુવકોના મૂળ પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને ત્યાં પહોંચ્યા પછી કોઈ નોકરી આપ્યા વગર વધુ પૈસાની માંગણી કરી હતી. આ કેસમાં નડિયાદના 22 વર્ષીય સ્મિતરાજસિંહ ઝાલા સહિત બે યુવકોને 2.74 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. જેથી છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ક વિઝા અને નોકરીમાં એક લાખથી વધુનો પગાર ઓફર કરાયોનડિયાદ ખાતે રહેતો 22 વર્ષીય સ્મિતરાજસિંહ ઝાલા છેતરપિંડીનો ભોગ બન્યો છે. સ્મિતરાજસિંહ ઝાલા પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. જુલાઈ, 2025ના સોશિયલ મીડિયા ફેસબુકમાં ઇન્ટરનેશનલ કંપનીની એક એડ જોઈ હતી. જેમાં દુબઈ ખાતે નોકરી આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેમાં બે વર્ષના વર્ક વિઝા, એક લાખથી વધુનો પગાર, રહેવાનું અને જમવાનું ફ્રી તેમજ UAEનું ટુ વ્હીલરનું લાયસન્સ પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ફરિયાદીએ જાહેરાત વિશે તેના મિત્ર કરણ સોલંકીએ વાત કરી હતી. પાસપોર્ટ જમા કરાવ્યા બાદ 30 દિવસમાં વિઝા આપવાની લાલચ આપીજેથી ફરિયાદી અને તેનો મિત્ર નવરંગપુરામાં આવેલી ફાઇવટેક ઇન્ટરનેશનલ ઓફિસ ખાતે રુબરુ આવ્યા હતા. જ્યાં હાજર રાહુલ ગુપ્તાએ તેની ઓળખ કંપનીના મેનેજર તરીકે આપી હતી. જ્યાં રાહુલ ગુપ્તાએ દુબઈ ખાતે બાઈક રાઇડર તરીકે જોબ કરવાની, બે વર્ષના વર્ક વિઝા ઉપર દુબઇ જવાની અને માસિક 5500 દિરહામ સેલેરી અને રહેવાનું અને જમવાનું ફ્રી આપવાની લાલચ આપી હતી. પાસપોર્ટ જમા કરાવ્યા બાદ 30 દિવસમાં વિઝા આપવાની લાલચ આપતા ફરિયાદી અને તેના મિત્રએ તૈયારી દર્શાવી હતી. એક વ્યક્તિ દીઠ 1.25 લાખ ચૂકવવા પણ રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું. જેથી યુવકોએ વિશ્વાસમાં આવીને તૈયારી દર્શાવતા રાહુલ ગુપ્તાએ જયપુરમાં આવેલી રિઝનલ હેડ ઓફિસમાં કૈલાસ મીણા સાથે વાત કરાવી હતી. હમઝા નામના વ્યક્તિએ બંને યુવકોના પાસપોર્ટ લઈ લીધા હતાજે બાદ ફરિયાદી અને તેના મિત્રએ વર્ક વિઝા પર દુબઈ જવાનું નક્કી કરી ઓરિજિનલ પાસપોર્ટ જમા કરાવી ફોર્મ પર કરી હતી. જે બાદ થોડા દિવસ વિઝા આવી ગયા હોવાનું કહી PDF મોકલી આપી પૈસા પડાવ્યા હતા. રાહુલ ગુપ્તા અમદાવાદથી દુબઇ પણ યુવકોને લઈ ગયો હતો. જ્યાં હમઝા નામના વ્યક્તિએ બંને યુવકોના પાસપોર્ટ લઈ લીધા હતા. જે બાદ કરાર પર જબરદસ્તી સહી કરાવીને ગેસ્ટ હાઉસમાં રાખીને જમવાનું પણ આપ્યું નહોતું. દુબઇમાં લાવીને 6 મહિના સુધી કોઈને પણ કામ ન અપાયુંયુવકોને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં ભારતમાં અને બીજા દેશના લોકો પણ હતા. જ્યારે યુવકોએ તેમની સાથે વાતચીત કરી તો સામે આવ્યું હતું કે, દુબઇમાં લાવીને 6 મહિના સુધી કોઈને પણ કામ અપાતા નથી તેમજ જાહેરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની વાત કરવામાં આવી હતી, તે પણ કોઈને આપવામાં આવ્યું નહોતું. જે લોકો ત્યાં રહેતા હતા તેમણે એક જ દિવસ જમવાનું આપવામાં આવતું હતું. જે બાદ ફરિયાદી અને તેના મિત્રએ રીજનલ ઓફિસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી તો ત્યાંથી પણ તેમને ઉડાવ જવાબ મળ્યો હતો. વિઝા પૂર્ણ થતા વ્હાઇટ પાસપોર્ટ કઢાવી ઇમરજન્સી સર્ટીફિકેટ મેળવી ભારત પરત આવ્યા જેથી ફરિયાદી અને તેના મિત્રએ ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. કંપનીના માણસોએ પાસપોર્ટ ન આપતા બે મહિના સુધી ફરિયાદી અને તેનો મિત્ર દુબઈમાં રોકાયા હતા. જે બાદ વિઝા પૂર્ણ થતા વ્હાઇટ પાસપોર્ટ કઢાવી ઇમરજન્સી સર્ટીફિકેટ મેળવી ભારત પરત આવ્યા હતા. જે બાદ છેતરપિંડી થઈ હોવાની રાહુલ ગુપ્તા, કૈલાસ મીણા અને ફાઇવટેક ઇન્ટરનેશનલ કંપની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:29 pm

બનાસકાંઠા જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જિલ્લા વહીવટી તંત્રની સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા ખાસ અપીલ

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ જાહેરાત કરી છે કે જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો અને સતત પુરવઠો ઉપલબ્ધ છે. તંત્રએ નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. પેટ્રોલ-ડીઝલ, એલપીજી ગેસ, પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ), ખાદ્ય અનાજ અને ખાતર સહિતની તમામ જરૂરી વસ્તુઓનો પૂરતો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ છે. હાલ કોઈ પ્રકારની અછત નથી. જિલ્લા વહીવટી તંત્ર પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે તમામ સપ્લાય ચેઇન પર સતત નજર રાખી રહ્યું છે. સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને સ્ટોક, વિતરણ અને કિંમતોની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી જનતાને કોઈ તકલીફ ન પડે. જરૂર પડ્યે તાત્કાલિક પગલાં પણ લેવાય છે. નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓ, ભ્રામક માહિતી કે ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરે. અફવાઓને કારણે ગભરાટ ન ફેલાય તે માટે સૌએ જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે. ગભરાટમાં ખરીદી જેવી પરિસ્થિતિ ટાળવા માટે નાગરિકોને માત્ર પોતાની જરૂરિયાત મુજબ જ વસ્તુઓ ખરીદવા અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા વેપારીઓ અને પુરવઠા સાથે સંકળાયેલા તમામ એકમોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની સંગ્રહખોરી, કાળાબજારી કે નિર્ધારિત ભાવ કરતાં વધુ કિંમતે વેચાણ ન કરે. આવા ગેરકાયદેસર કૃત્યો કરનારા સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત, નાગરિકોને કોઈપણ ફરિયાદ, સૂચન કે માહિતી આપવા માટે જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. જિલ્લા વહીવટી તંત્ર જનહિતને પ્રથમ પ્રાથમિકતા આપીને દરેક પરિસ્થિતિમાં જનતાને જરૂરી સહાયતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:28 pm

મોરબી સિરામિકમાં ગેસના ભાવમાં મોટો તફાવત:એક કંપની ₹88, બીજી ₹52; ઉદ્યોગકારો ચિંતિત

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ સપ્લાય કરતી બે કંપનીઓના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એક કંપની પ્રતિ ક્યુબિક મીટરના 85 થી 88 રૂપિયા વસૂલે છે, જ્યારે બીજી કંપનીનો ભાવ માત્ર 52 રૂપિયા છે. આ ભાવ તફાવતને કારણે ઉદ્યોગકારો ચિંતિત છે અને કારખાના ચાલુ રાખવા અંગે નિર્ણય લઈ શકતા નથી. મોરબી સિરામિક એસોસિએશનના માજી પ્રમુખ કે.જી. કુંડારિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની તેના ગ્રાહકોને 85 થી 88 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવે ગેસ પૂરો પાડે છે. તેની સામે, અંદરણા ગામથી હળવદ તરફના રસ્તા પર આવેલા બે સિરામિક કારખાનાઓને અદાણી કંપની દ્વારા 52 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવે ગેસ સપ્લાય કરવામાં આવે છે. આ ભાવ તફાવતને કારણે ઉદ્યોગકારોમાં ગુજરાત ગેસ કંપની સાથે MGO (મિનિમમ ગેરંટી ઓફટેક) કરાર કરવા અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે. નીચા ભાવે ગેસ મળતો હોવા છતાં, ગુજરાત ગેસના ઊંચા ભાવને કારણે કરાર કરવામાં અનિચ્છા જોવા મળી રહી છે, જે ઉદ્યોગ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. અગાઉ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે પ્રોપેન ગેસની સપ્લાય બંધ થતા 650 માંથી 450 થી વધુ કારખાના બંધ થયા હતા. ત્યારબાદ ગુજરાત ગેસના ભાવ વધારા અને કરાર મુજબનો જથ્થો વપરાઈ ગયા બાદ પણ 500 થી વધુ સિરામિક કારખાના બંધ પડ્યા હતા. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવશે. એસોસિએશને ઉદ્યોગકારોને વિનંતી કરી છે કે જ્યાં સુધી સરકાર તરફથી યોગ્ય નિર્ણય અને કંપની તરફથી વાજબી ભાવ ન મળે ત્યાં સુધી ગુજરાત ગેસ કંપની સાથે MGO કરાર ન કરવામાં આવે. આના કારણે ઘણા કારખાના હજુ પણ બંધ રહી શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:20 pm

20 ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા સવાર દંપતી ખાબક્યું, CCTV:હિટાચીથી બહાર કાઢ્યા, સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન મજબૂર બેરિકેટના અભાવે અકસ્માત સર્જાયો

સ્માર્ટ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રોના ખુલ્લા ખાડામાં એક એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલી મહિલા 20 ફૂટ ઊંડા ખાડામાં પટકાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મેટ્રો તંત્રની આ લાપરવાહીને કારણે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મુકાયો છે. મેટ્રોની કામગીરી દરમિયાન ખોદેલા 20 ફૂટ ઊંડા ખાડામાં દંપતી ખાબક્યુંમળતી માહિતી મુજબ, પર્વત પાટિયા વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. અહીં 20 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. એક એક્ટિવા ચાલક પોતાની પાછળ એક મહિલાને બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન બગડતા કે અન્ય કારણોસર તેઓ સીધા જ મેટ્રોના ઊંડા ખાડામાં ખાબક્યા હતા. CCTVમાં કેદ થઈ લાપરવાહીઆ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ચાલક અને મહિલા ખાડામાં પટકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં મેટ્રો વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ્યારે મીડિયા દ્વારા મેટ્રોના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓ આ મામલે મૌન સેવી રહ્યા છે અને કોઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. શું કોઈ મોટી જાનહાનિ થાય તો જ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ જાગશે? સુરક્ષાના ધોરણોમાં આટલી મોટી ચૂક બદલ જવાબદાર કોણ? પતરાના નાજુક બેરિકેટ લગાવવામાં આવ્યા હતાપ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ત્યાં સિમેન્ટના મજબૂત બ્રેકેટ લગાવવાને બદલે માત્ર પતરાના નાજુક બેરિકેટ લગાવવામાં આવ્યા હતા, જે સુરક્ષાની દ્રષ્ટિએ અપૂરતા હતા. ખાડામાં પટકાયેલા મહિલા અને પુરુષને બચાવવા માટે તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી. અંતે જેસીબી અને ક્રેનની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બંનેને શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ મેટ્રો તંત્ર જાગ્યું, સિમેન્ટના મજબૂત બ્રેકેટ મૂક્યાઆશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ઘટના બન્યા બાદ મેટ્રોના સત્તાધીશો સફાળા જાગ્યા હતા. જે કામગીરી પહેલા કરવાની હતી તે હવે કરવામાં આવી છે—ઘટના બન્યા બાદ ત્યાં તાત્કાલિક ધોરણે સિમેન્ટના મજબૂત બ્રેકેટ મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:03 pm

ચંદ્રુમાણા ગામે ચામુંડા માતાની રમેલ યોજાઈ:ઠાકોર પરિવારે આયોજિત કરી, ભુવાજીએ આશીર્વાદ આપ્યા

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિરે શનિવારે રાત્રે ચામુંડા માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂર દૂરથી ઠાકોર સમાજના ભાઈઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી હતી. આ રમેલ માંડવામાં સિકોતર માતાના ભુવાજી ગોવિંદજી પોપટજી, પ્રકાશજી ઠાકોર, ગોગા મહારાજના ભુવાજી મુકેશજી હમીરજી અને ચામુંડા માતાના ભુવાજી દશરથભાઈ પુરોહિત (કડી) સહિત મોટી સંખ્યામાં ભુવાજીઓ હાજર રહ્યા હતા. તેમણે માતાજીની ધૂણ લગાવી હતી અને ઠાકોર પરિવારોને કુળદેવીમાં શ્રદ્ધા રાખવા તેમજ કુશળ મંગળના આશીર્વાદ આપ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી આ રમેલ માં બહારગામથી પણ માતાજીના અનેક ઉપાસકો પધાર્યા હતા અને માંડવાની શોભા વધારી હતી. આ સમગ્ર ધાર્મિક પ્રસંગનું આયોજન ચંદ્રુમાણીયા ઠાકોર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:02 pm

દેશનું પ્રથમ હનુમાનજીનું મંદિર વડોદરાનું હોવાનો દાવો:રામચરિત માનસ-સ્કંદ પુરાણમાં ભીડ ભંજન હનુમાન મંદિરનો ઉલ્લેખ; 7 વર્ષના અભ્યાસ બાદ જાહેરાત

આગામી 2 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે, ત્યારે વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ ભીડ ભંજન હનુમાન મંદિર ભારતનું પહેલુ હનુમાન મંદિર હોવાનો દાવો મંદિરના મહંતે કર્યો છે. આ માટે તેઓએ સતત 7 વર્ષ સુધી રામચરિત માનસ અને સ્કંદપુરાણ સહિતના ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે 29 માર્ચે મંદિરના મહંત હર્ષદગિરી ગોસ્વામીએ ભીડ ભંજન હનુમાન મંદિર ભારતનું પહેલુ હનુમાન મંદિર હોવાની જાહેરાત કરી છે. સ્કંદપુરાણનાવ વિશ્વામિત્ર મહાત્મ્યમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોના જેષ્ઠ ભ્રાતા યુદ્ધીષ્ઠિર વચ્ચેના સંવાદમાં વડોદરાના હરણી સ્થિત હનુમાનજીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રામચરિત માનસના બાલકાંડમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે ભગવાન રામજીની આજ્ઞાથી હનુમાનજી અહીં બિરાજ્યા હોવાનું પણ મહંતે જણાવ્યું છે. શિવના અગિયારે-અગિયાર રુદ્ર સામેલઃ હર્ષદગિરી ગોસ્વામીહરણી રોડ પર આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરના મહંત હર્ષદગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતનું સૌપ્રથમ મંદિર હોવાની જાહેરાત હું પુરાણો અને શાસ્ત્રોના મત મુજબ કરી રહ્યો છું. 7 વર્ષના અભ્યાસ પછી આ સિદ્ધ થયું છે. ભારતભરમાં હનુમાનજીના અનેક નાના-મોટા મંદિરો છે અને દરેકની પોતાની વિશેષતા અને પૂજનીયતા છે. પરંતુ હરણીમાં બિરાજમાન આ 'ભીડભંજન હનુમાનજી' કંઈક અલગ છે. શિવના અગિયારે-અગિયાર રુદ્ર જેમાં સમાયેલા હોય અને અગિયાર રુદ્રના ઈશ્વર તરીકે જો કોઈ બિરાજમાન હોય, તો આ ભારતનું પહેલું મંદિર છે. ‘રામજીની આજ્ઞાનું પાલન કરીને હનુમાનજી અહીં સ્થાપિત થયા’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અથવા તે સ્વયંભૂ હોય છે, પરંતુ અહીં તો રામજીની આજ્ઞાનું પાલન કરીને હનુમાનજી અહીં સ્થાપિત થયા છે. રામચરિત માનસમાં પણ તેનો ઉલ્લેખ છે. સિર ધરિ આયસુ કરિહુ તુમ્હારા, પરમ ધર્મ યહ નાથ હમારા. જ્યારે હનુમાનજીએ રામજીની આજ્ઞા સ્વીકારી ત્યારે તેમની મુદ્રા કેવી હતી? એક હાથ મસ્તક પર અને એક હૃદય પર આ એ જ મુદ્રામાં બિરાજમાન મનુષ્ય રૂપી હનુમાનજી છે. ‘ભગવાન શિવના મૂળ સ્વરૂપનો શૃંગાર’તેઓએ કહ્યું હતું કે, અમારી ખુશી વ્યક્ત કરવા માટે અમે ભગવાન શિવના મૂળ સ્વરૂપનો શૃંગાર તૈયાર કરાવ્યો છે. આ કાપડના વસ્ત્રો નથી, પણ ડાયમંડ અને જડતરથી બનેલો દિવ્ય શૃંગાર છે. ભક્તોનો ભાવ એટલો મોટો છે કે તેની કિંમત તો નાની લાગે. આ શૃંગાર રાજકોટમાં અમિતભાઈ અને પ્રદીપભાઈ સોની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. મંદિરનો ઇતિહાસ શું છે?આ સ્થળ પર એક હીરણાંક્ષી નામનો દૈત્ય રહેતો હતો. આ દૈત્ય ખુબ જ બળવાન અને અજર અમર હતો. તેના દ્વારા આ સ્થળ પર રહેલા સાધુ સંતોને ખૂબ હેરાન પરેશાન કરતો હતો. આ સાધુ સંતો દ્વારા પ્રભુ શ્રીરામને વિનંતી કરી હતી કે, તમારા વચન પ્રમાણે કોઈ પણ દૈત્યનો નાશ થશે અને શાંતિ સ્થાપિત થશે. જેને લઈ અમારા વિસ્તારમાં પણ દૈત્ય હેરાન પરેશાન કરી રહ્યો છે, ત્યારે ભગવાન શ્રીરામ દ્વારા હનુમાનજીને આજ્ઞા કરી કહ્યું કે, આ સ્થળ પર એક દૈત્ય રહે છે, તેનો નાશ કરો. ‘બ્રહ્માએ આકાશવાણી કરી કે, આ દૈત્ય અજર અમર છે’ હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું હતું. પુરાણોમાં ઉલ્લેખ છે કે, ઘણા સમય સુધી હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. સ્વયં પ્રભુ શ્રીરામ આ દૈત્યના વધ માટે ત્યાં પહોંચે છે, ત્યારે બ્રહ્માએ આકાશવાણી કરી કે આ દૈત્ય અજર અમર છે. તેને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત છે, જેથી તે મૃત્યુ પામી શકે તેમ નથી. ત્યારે ભગવાન શ્રીરામે હનુમાનજીને વિરાટ રૂપ ધારણ કરી તેનો નાશ કરવાનું કહ્યું હતું. ત્યારે હનુમાનજી આ દૈત્યને હાથમાં પકડી અને હવામાં ફેંકી અને તેને જમીન પર પછાડે છે. ત્યારે તેને પગમાં દબાવી રાખે છે અને ત્યારબાદ ભગવાન શ્રીરામ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે, આ દૈત્ય અજર અમર છે, તેનુ મૃત્યુ શક્ય નથી. ત્યારે આક્રોશથી હનુમાનજી દૈત્યને પોતાના પગમાં દબાવે છે અને ગદાનો પ્રહાર કરે છે. ‘ગુજરાતીમાં કસ્ટનો બીજો અર્થ ભીડ’તે સમય જોઈ ભગવાન શ્રીરામ કહે છે કે, તથાસ્તુઃ ત્યારે હનુમાનજી ત્યાં સ્થિર થયા હતા. ભગવાન શ્રીરામે કહ્યુ કે, દૈત્યનું મૃત્યુ શક્ય નથી, ત્યારે તમારી શક્તિથી તમારા પગમાં દબાવી રાખો અને કાલ અંતરે આ નગરી મનુષ્ય નગરી થશે તો તમારું વિરાટ રૂપ, ભયંકર રૂપ અને વાનર રૂપ જોઈ લોકો ગભરાઈ જશે, જેથી આ કાળથી મનુષ્ય રૂપ બિરાજમાન થઈ અને સાધુ સંતો અને ઋષિમુનિઓનું કસ્ટ દૂર કરો. એટલે ગુજરાતીમાં કસ્ટનો બીજો અર્થ થાય છે ભીડ દૂર થઈ એટલે અહીં ભીડભંજન તરીકે પ્રસિદ્ધ થયા હતા. ‘ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ પોતે અહીં આવ્યાનો ઉલ્લેખ’અહીં અરણીનું જંગલ હતું. સમયકાલ થતા આ સ્થળ અરણીનું હરણી થયું અને આજે પ્રસિદ્ધ થયું છે. કહેવાય છે કે, આ જગ્યા પર ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ પોતે અહીં આવ્યા હતા. જે સ્કંદ પુરાણના આધારે ફલિત થાય છે. ખાસ કરીને આ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામના ચરણ આ ધરતી પર પડ્યા હોવાથી આ ધરતી પાવન બની છે. શ્રાવણ માસમાં ભવ્ય મેળો ભરાય છે. સાથે હનુમાન જયંતી પર લાખો ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ પવિત્ર ભીડભંજન હનુમાનજી મંદિર લાખો ભાવિ ભક્તોનું અસ્થાનું કેન્દ્ર બન્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:59 pm

હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો તમાશો:ટૂંક સમયમાં સુરતીઓ કરશે મેટ્રોમાં મુસાફરી, પ્લેન ક્રેશ દુર્ઘટનાના તપાસ રિપોર્ટ પર બોલ્યા કેન્દ્રીય નાગરિક મંત્રી

સતાધાર ચાર રસ્તા પરના નવા ફ્લાયઓવરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સતાધાર ચાર રસ્તા પર નવા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આનાથી એસ.જી. હાઈવે અને વસ્ત્રાપુર તરફ જતા લાખો વાહનચાલકોને ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ મળશે.આ સાથે તેમણે AMC અને ઔડાના કુલ 1,098 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટૂંક સમયમાં આવશે પ્લેન ક્રેશ દુર્ઘટનાનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો રિપોર્ટ.. રાજકોટમાં ઉડાન કેફે અને દેશના અન્ય એરપોર્ટ પર વિવિધ સુવિધાઓના લાકોર્પણ દરમિયાન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આ અંગેની ખાતરી આપી..આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતીઓને ટૂંક સમયમાં જ મળી જશે મેટ્રો સુરતમાં ટૂંક સમયમાં શરુ થશે મેટ્રો.. આજથી ટ્રાયલ રન શરૂ કરવામાં આવી. ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી.પર દોડી મેટ્રો..આ રુટ પર વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જામ્યું પોસ્ટર વોર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર જામ્યું. જાહેર દિવાલો પર સૂત્રોચ્ચાર અને કમળ પર લાલ ચોકડી સાથેના પોસ્ટર લાગ્યા. પોસ્ટર્સમાં મોંઘવારી,ટ્રાફિક અને દારુ-ડ્રગ્સના દૂષણની વાત કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૈસાની લેતીદેતીમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ રાજકોટના ધોરાજીમાં જાહેર રોડ પર ખૂની ખેલ ખેલાયો.. 3.70 લાખની લેતીદેતીમાં કુહાડીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી. પોલીસે આંગડિયા પેઢીના માલિક સહિત 2 લોકોની ધરપકડ કરી લીધી છે. આ તરફ કોળી સમાજે ન્યાયની માગ સાથે રેલી કાઢી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 20 મિનિટ સુધી યુવક પરથી પસાર થતા રહ્યા વાહનો વલસાડના વાપી નજીક નેશનલ હાઈવે 48 પર રાહદારીને અજાણ્યા વાહનચાલકે ભયાનક ટક્કર મારી. વાહનચાલક 20 મિનિટ સુધી ડિવાઈડર પર બનાવેલી સેફ્ટી વોલ પર 20 મિનિટ સુધી લટકતો રહ્યો.. તેના પરથી 20 મિનિટ સુધી વાહનો પસાર થતા રહ્યા..હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ચૂક્યું હતું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાષ્ટ્રીય શાળામાં 2 સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય રાજકોટની રાષ્ટ્રીય શાળા સંકુલમાં 2 સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું. બે આરોપીઓએ આ કુકર્મનો વીડિયો બનાવ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એમાંથી એક તો સ્ટોન કિલર કેસનો સાક્ષી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાઈ. 1.35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. 8 કલાકમાં જ ત્રણ પેપર હોવાથી વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલી પડી હતી. .આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લગ્નમાંથી પરત ફરતા દંપતીનો ભયાનક અકસ્માત વડોદરાના NH-48 પર દંપતીનો ભયાનક અકસ્માત.. પૂરપાટ ઝડપે આવતી કારે મહિલાને અડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. .પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું.. દંપતી લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હવે 2જી અને 3જી એપ્રિલે પણ માવઠાની આગાહી 29,30 માર્ચ પછી વધુ એક માવઠાની આગાહી કરવામાં આવી..2 અને 3 એપ્રિલે પણ માવઠાની શક્યતા છે. આ માવઠાની અસર આખા રાજ્યમાં રહેવાની વકી છે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:55 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:હવે ચાણક્યપુરીથી વસ્ત્રાપુર-એસ.જી. હાઇવે સડસડાટ પહોંચી જશો, પતિએ પ્રેમિકા સાથે મળીને પત્નીને ધોકાવી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:50 pm

ઇસ્કોન ભાડજમાં રામનવમી મહોત્સવ ઉજવાયો:વિશ્વ શાંતિ માટે રામ તારક યજ્ઞ, ભક્તોએ લીધો લાભ

ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શુક્રવાર, 27 માર્ચ, 2026 ના રોજ રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને કૌશલ્યાના ત્યાં થયેલા દિવ્ય અવતરણની યાદગીરીરૂપે આ ઉત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિશ્વ શાંતિ માટે “શ્રી રામ તારક યજ્ઞ” યોજાયો હતો. આ યજ્ઞમાં “રામ અષ્ટોત્તર શત્ નામ” (108 નામ) અને અન્ય વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓએ આખા દિવસ દરમિયાન ઉપવાસ રાખી ભગવાન શ્રીરામના પવિત્ર નામનું રટણ કર્યું હતું અને રામાયણનું શ્રવણ કર્યું હતું. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી શ્રી સીતા રામને ભવ્ય રાજભોગ ધરાવવામાં આવ્યો હતો.સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે મહોત્સવમાં હાજર ભક્તો દ્વારા ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ સૌ ભક્તોએ “રામ તારક યજ્ઞ” કર્યો હતો. અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી હતી, જે દરમિયાન સૌ ભક્તોએ “નામ રામાયણ”નું ગાન કર્યું હતું, જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપવામાં આવી છે.રામનવમી ઉત્સવ નિમિત્તે મંદિરમાં આવનાર બધા દર્શનાર્થીઓ માટે અન્નદાન ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ભવ્ય મહોત્સવે આધ્યાત્મિક એકતા અને વૈશ્વિક સૌહાર્દનો શક્તિશાળી સંદેશ પ્રસારિત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:42 pm

વાપીમાં VTA દ્વારા નવમી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ:ટ્રાન્સપોર્ટર વચ્ચે 'ભાઈચારા'ના ઉદ્દેશ્ય સાથે 12 ટીમો વચ્ચે જંગ જામશે

વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા વાપીના VIA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવમી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં વિવિધ શહેરોની 12 ટીમો ભાગ લઈ રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત અને પરસ્પર સૌહાર્દ વધારવાનો છે. VTAના પ્રમુખે જણાવ્યું હતું કે વાપીમાં આશરે 2800થી 3000 ટ્રાન્સપોર્ટર ભાઈઓ કાર્યરત છે, જેઓ દેશના વિવિધ રાજ્યોમાંથી અહીં આવીને વસ્યા છે. આ તમામ મિત્રો એક મંચ પર ભેગા થાય અને તેમની વચ્ચે ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી દર વર્ષે આ ટુર્નામેન્ટ યોજાય છે. ત્રણ દિવસીય આ ખેલ ઉત્સવમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ મંત્રી વાસણ આહીર, વાપીના સ્થાનિક ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન મહેમાનો અને પ્રેક્ષકો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. VTA દ્વારા દરરોજ બપોરે અંદાજે 1500થી 2000 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રસંગે વાપી ઉપરાંત અંકલેશ્વર, સુરત અને અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:41 pm

પાટણની બોમ્બે મેટલ શાળામાં સપ્તમ સમારોહ યોજાયો:ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય, પક્ષી કુંડા અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા, પાટણ ખાતે 27 માર્ચ, 2026ના રોજ સપ્તમ સમારોહ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં IDBI બેંકના મેનેજર અશ્વિની સિંહ રાજપૂત, શાળાના વાલી રાજુભાઈ પરમાર, સિનિયર શિક્ષિકા શીતલબેન પટેલ અને ધોરણ 8ના વર્ગ શિક્ષિકા બિનાબેન પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું ભારતીય રીતિ-રિવાજ મુજબ સુખડ અને કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આદર્શ વિદ્યાર્થી પ્રમાણપત્ર, પ્રમાણિકતા પ્રમાણપત્ર, તેમજ વર્ષ દરમિયાન સૌથી વધુ હાજરી અને શિસ્ત બદલના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે પોતાના શાળાના અનુભવો વિશે સુંદર વાતો રજૂ કરી હતી. શાળાના બાળકોમાં જીવદયા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણી પીવાના 164 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ માનવ સેવા ટ્રસ્ટ ગુજરાતના સભ્ય મનોજભાઈ જેઠવા અને તેમના સહયોગીઓ ગિરીશભાઈ ચૌધરી (હિંમતનગર), પ્રબોધભાઈ શાહ (કચ્છ), નચિકેતા ટ્રસ્ટ સુરતના પ્રવીણભાઈ, જયંતિભાઈ, મયંકભાઈ મકવાણા, હસમુખભાઈ સોલંકી, હંસાબેન ભોજ અને આર્ટિસ્ટ સતીશ વાઘેલાના સહયોગથી નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાળાના દરેક બાળકને પેન્સિલ અને બોલપેન પણ આપવામાં આવી. શાળાના ઉત્સાહી શિક્ષિકા શ્રીમતી હેતલબેન દ્વારા દરેક બાળકોને નાસ્તામાં સ્વાદિષ્ટ ઢોકળા પીરસવામાં આવ્યા. મહેમાન અશ્વિની સિંહ રાજપૂત (મેનેજર, IDBI બેંક) દ્વારા બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવામાં આવ્યા. કાર્યક્રમના અંતે, શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:41 pm

ગુજકેટ પરીક્ષા હિંમતનગરમાં સંપન્ન, 61 વિદ્યાર્થી ગેરહાજર:જીવવિજ્ઞાનનું પેપર મધ્યમ, અન્ય વિષયો સરળ રહ્યા

હિંમતનગરમાં આજે ગુજકેટની પરીક્ષા 16 કેન્દ્રો પર 157 બ્લોકમાં સંપન્ન થઈ. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં કુલ 61 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જીવવિજ્ઞાનમાં 41 અને ગણિતમાં 26 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષામાં 3075માંથી 3014 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જીવવિજ્ઞાનમાં 2159માંથી 2118 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ગણિતમાં 924માંથી 898 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજકેટની પરીક્ષા હિંમતનગરના 16 કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવાઈ હતી. જીવવિજ્ઞાન વિષયની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં, જ્યારે ગણિતની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં યોજાઈ હતી. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ અને નિષ્ણાતોના મતે, જીવવિજ્ઞાનનું પેપર મધ્યમ પ્રકારનું હતું. હિંમત હાઈસ્કૂલના જીવવિજ્ઞાનના શિક્ષક પી.જે. મહેતાએ જણાવ્યું કે, ત્રણથી ચાર પ્રશ્નો હોશિયાર વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા. આકૃતિ, જોડકા અને વિધાન સંગત-અસંગત પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. નેગેટિવ માર્કિંગ પદ્ધતિ હોવાથી, જે વિદ્યાર્થીઓએ વિચારીને જવાબો આપ્યા છે તેમને સારા ગુણ મળવાની શક્યતા છે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના ગુજકેટના પેપરમાં પાઠ્યપુસ્તક આધારિત સરળ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભૌતિક વિજ્ઞાનના શિક્ષક પી.એમ. પટેલ અને રસાયણ વિજ્ઞાનના શિક્ષક સી.જે. પટેલે આ માહિતી આપી હતી. ગણિતનું પેપર પણ પાઠ્યપુસ્તક આધારિત અને સરળ હતું. હિંમત હાઈસ્કૂલના ગણિત વિષયના શિક્ષક જે.બી. પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:40 pm

GEC પાટણ, IWWA અમદાવાદે ટેકનિકલ મુલાકાત યોજી:વર્લ્ડ વોટર ડે નિમિત્તે જળ શુદ્ધિકરણ પ્લાન્ટની મુલાકાત

સરકારી ઈજનેરી કોલેજ (GEC) પાટણના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ અને IWWA અમદાવાદ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે 'વર્લ્ડ વોટર ડે ૨૦૨૬' નિમિત્તે માસા (Masa) વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટેકનિકલ મુલાકાતનું આયોજન કરાયું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જળ શુદ્ધિકરણની પ્રક્રિયાઓનું પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવાનો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે GWSSBના ચીફ એન્જિનિયર ભારતીબેન મિસ્ત્રી, IWWA નેશનલના ડાયરેક્ટર ટેકનિકલ બિરેન દલાલ, GWSSBના પૂર્વ મેમ્બર સેક્રેટરી પી. જી. ગદાણી, ડૉ. એમ.બી. ધોળકિયા અને સી.એમ. શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિભાગીય વડા ડૉ. નીલમ દલાલ (COM મેમ્બર, IWWA) અને ફેકલ્ટી કોઓર્ડિનેટર ડૉ. એમ.આઈ. બાલ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન, પ્લાન્ટના DE મોહિત ભૂત દ્વારા વિદ્યાર્થીઓને એરેશન, ફિલ્ટરેશન અને ડિસઇન્ફેક્શન જેવા જળ શુદ્ધિકરણના વિવિધ તબક્કાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:39 pm

છઠીયારડા શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ:કુમાર-કન્યા શાળામાં ભેટોની આપ-લે સાથે ઉજવાયો

છઠીયારડા પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત વિદાય લેનાર વિદ્યાર્થીઓને તિલક-કુમકુમ કરીને કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા આઠ વર્ષના અનુભવો રજૂ કર્યા હતા અને નિવૃત્ત શિક્ષકોને યાદ કર્યા હતા. આ પ્રસંગે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. આ સન્માન નિયમિત હાજરી, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા જાળવણી, નિયમિત ગૃહકાર્ય, ગણવેશ પાલન અને બાહ્ય પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે અપાયું હતું. સન્માનિત વિદ્યાર્થીઓમાં ઠાકોર સિધ્ધરાજ જસવંજી, ઠાકોર યુવરાજ તખાજી, ઠાકોર કૃષ્ણાજી જયંતિભાઈ, પટેલ હેત જસવંતભાઈ, પઠાણ સાનિફઅલી યુનુસખાન અને નાયી દેવ દિલિપભાઈનો સમાવેશ થાય છે. શિક્ષિકા ભાવનાબેન પટેલ અને રસીલાબેન સુથારે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. ધોરણ 8ના વર્ગ શિક્ષિકા લક્ષ્મીબેન પ્રજાપતિએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ધોરણ 10માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીને સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. શાળાના આચાર્ય જયપ્રકાશ રમણભાઈ સથવારાએ પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને સારા નાગરિક બનવા અને જીવનના પડકારોનો સામનો કરવા પ્રેરણા આપી હતી.આ પ્રસંગે ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને વર્ગ શિક્ષક દ્વારા શાળાને તિજોરીની ભેટ આપવામાં આવી હતી. વર્ગ શિક્ષિકા લક્ષ્મીબેન પ્રજાપતિએ દરેક વિદ્યાર્થીને સ્ટીલની એક લીટરની પાણીની બોટલ ભેટ આપી હતી. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક કિરણભાઈ દરજી દ્વારા કરાયું હતું. આ જ રીતે, છઠીયારડા પ્રાથમિક કન્યા શાળામાં પણ ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના અંતે શિક્ષિકા મકવાણા જાગૃતિબેન દ્વારા વિદ્યાર્થીનીઓને ભોજન આપવામાં આવ્યું હતું. કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે વિદ્યાર્થીનીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને ભોજન દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.બંને શાળાઓમાં યોજાયેલા વિદાય સમારંભ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:38 pm

એચ.એ. કોલેજના પ્રિન્સિપાલે AI પર વક્તવ્ય આપ્યું:રાષ્ટ્રીય પરિસંવાદમાં માનવજાતના ભવિષ્ય પર AIની અસર સમજાવી

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા રાધનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણમાં આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સના સાધનોની અસર વિષય પર યોજાયેલા આ પરિસંવાદમાં અમદાવાદની એચ.એ. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિન્સિપાલ્સ એસોસિએશનના પ્રમુખ સંજય વકીલે જણાવ્યું હતું કે, આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ (AI) માત્ર ટેકનોલોજીનો વિષય નથી, પરંતુ તે સમગ્ર વિશ્વ અને માનવજાતના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે AI માનવશાસ્ત્ર, વિજ્ઞાન અને વાણિજ્યની પ્રગતિમાં ટકાઉ અને ભરોસાપાત્ર ભૂમિકા ભજવી શકે છે. વકીલે વધુમાં ઉમેર્યું હતું કે, આપણે માત્ર ટેકનોલોજી શીખવવી પૂરતી નથી, પરંતુ તેની સાથે વિચારવાની રીત પણ શીખવવી પડશે. ટેકનોલોજીની સાથે નૈતિકતા અને માનવતાનું નિર્માણ કરવું પણ અત્યંત જરૂરી છે. જો AIનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક કરવામાં આવે તો તે માનવજાત માટે ઉજ્જવળ ભવિષ્ય અને આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ રાષ્ટ્રીય પરિસંવાદમાં કુલ ૨૩૯ ડેલિગેટ્સે ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં અધ્યાપકો અને પીએચડી સ્કોલર્સે તેમના સંશોધન પત્રો રજૂ કર્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ સી.એમ. ઠક્કર અને કોઓર્ડિનેટર પ્રો. ચિરાગ રાવલે સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:37 pm

નરોડા કોલેજમાં AI વેબ ડિઝાઇનિંગ વર્કશોપ સંપન્ન:કેસીજી અમદાવાદના સહયોગથી 60 વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ

એ.પી. પટેલ આર્ટ્સ અને સ્વ. એન.પી. પટેલ કૉમર્સ કૉલેજ, નરોડા ખાતે ઇનોવેશન ક્લબ દ્વારા 'વેબ ડિઝાઇનિંગ થ્રૂ એ.આઈ.' વિષય પર 30 કલાકનો વર્કશોપ યોજાયો હતો. કે.સી.જી. અમદાવાદ અને ગુજરાતના શિક્ષણ વિભાગના સહયોગથી આ કાર્યક્રમ 23 થી 28 માર્ચ, 2026 દરમિયાન યોજાયો હતો. આ વર્કશોપમાં મુખ્ય વિષય નિષ્ણાત ડૉ. હનિસિંહ બસરાએ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર પર હેન્ડ્સ-ઓન તાલીમ આપી હતી. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને મેસેન્જર એપ્સ અને વેબસાઇટ્સ કેવી રીતે બનાવવી તે અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મુકેશ પ્રજાપતિએ કાર્યક્રમના આયોજન અને માર્ગદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર પ્રો. ધીરેન્દ્ર સુથાર અને સહ-કોઓર્ડિનેટર ડૉ. જયંત પરમાર દ્વારા આ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં 60 પ્રતિભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:36 pm

હારીજ સરકારી કૉલેજમાં વાર્ષિકોત્સવ યોજાયો:130થી વધુ વિદ્યાર્થીઓ સન્માનિત, 'આરંભ' રિપોર્ટનું વિમોચન

હારીજની સરકારી કૉલેજમાં 28 માર્ચના રોજ સવારે 10.00 કલાકે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે એડવોકેટ ગિરીશ શર્મા, પ્રોફેસર કે. કે. પટેલ, સામાજિક કાર્યકર શૈલેષ ઠક્કર અને જનક ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. કૉલેજના આચાર્યએ મહેમાનોનું સ્વાગત કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. વાર્ષિકોત્સવ દરમિયાન શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 130થી વધુ વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરીને તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. મહેમાનોએ પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ સરાહના કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન કૉલેજના વાર્ષિક રિપોર્ટ 'આરંભ'નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રોફેસર હાર્દિક પ્રજાપતિના બે પુસ્તકોનું પણ વિમોચન કરાયું હતું. કાર્યક્રમનું આભારદર્શન ડૉ. નરેન્દ્ર રાવલે કર્યું હતું, જ્યારે સંચાલન ડૉ. જીગ્નેશ પરમારે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:34 pm

PM શ્રી સયાજીગંજ શાળા નં. 52માં ઉજવણી:11મો વાર્ષિકોત્સવ 'રંગોત્સવ' ઉત્સાહભેર ઉજવાયો

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની PM શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા નંબર 52, સયાજીગંજ ખાતે 11મો વાર્ષિકોત્સવ 'રંગોત્સવ' ઉજવાયો. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી માનનીય ડો. વિપુલભાઈ ભરતીયા સાહેબે હાજરી આપી હતી.અને બાળકો ને પ્રેરણાદાયી વાતો થી પ્રોત્સાહન આપ્યું હતું આ 'રંગોત્સવ'માં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, લોકનૃત્ય અને નાટકો રજૂ કરીને તેમની પ્રતિભા દર્શાવી હતી. વર્ષ દરમિયાન અભ્યાસ, રમતગમત અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અને સન્માન પત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય સુનિલભાઈ ગાંવિતે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે બાળકોને સરકારી શાળાની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અંગે માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે URC કાજલબેન બગથલીયા, CRC સત્યમભાઈ પટેલ, SMC અધ્યક્ષ જયશ્રીબેન, નિવૃત્ત શિક્ષકો, નિવૃત્ત આચાર્યો અને અન્ય શાળાઓના આચાર્યો સહિત મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:34 pm

'શ્રમિકો માટે 5 KGના સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ છે':વૈશ્વિક કટોકટીને લઈને DY.CMની સમીક્ષા બેઠક, આશ્વાસન આપતા કહ્યું-'ભૂખ્યા કારીગરોને જમાડવા સુરતમાં 118 કોમ્યુનિટી કિચન કાર્યરત'

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષ અને વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરતના ICCC સેન્ટર ખાતે સુરત તેમજ અંકલેશ્વર, વાપી, ભરૂચ સહિતની દક્ષિણ ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે કામદારો, ગેસ સપ્લાયને લગતા પ્રશ્નો બાબતે ઉચ્ચતરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગ મંડળો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગેસ સપ્લાય અને કારીગરોની વ્યવસ્થાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ઝડપથી PNG કનેકશનો પૂરા પાડવા ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને ટકોરઆ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજયમાં હાલમાં ગેસ, પેટ્રોલ, ડિઝલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો ઉપલબ્ધ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પુરવઠાની સપ્લાય કરવામાં આવી રહી છે. તેઓએ કહ્યું કે, જે સ્થળોએ PNG કનેકશન હોય અને લોકો LPGનો ઉપયોગ કરતા હોય તેઓને ઝડપથી PNG કનેકશનો આપવા માટે ગુજરાત ગેસ કંપનીની અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત ગેસ કંપનીની મેઈન લાઈનોની નજીકના સ્થળોને સત્વરે કનેકશનો પુરા પાડવા જણાવ્યું હતું. સરકારની ગાઈડલાઈન મુજબ ગેસ જથ્થાની સપ્લાયની વિગતો રજુ કરી આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ હાલમાં LPG ગેસ જથ્થાની ઘરેલુ, શૈક્ષણિક, હોસ્પિટલ, ઈન્ડસ્ટ્રીઝોને કરવામાં આવતી સપ્લાયની વિગતો રજુ કરી હતી. બેઠકમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ પોતાની રજુઆતો કરી હતી. બેઠકમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, MSMEના કમિશનર કે. સી. સંપથ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સૌ ઉદ્યોગ મંડળો સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે. કારીગરો માટે 5 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની વ્યવસ્થાખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે, પહેલાં 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈપણ કારીગરોમાં ડર પેદા ન થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન પણ પીરસવામાં આવી રહ્યું હતું. પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે પણ પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યો છે? ભવિષ્યની અંદર કઈ કઈ રીતે એમને વિભિન્ન પ્રકારે પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ પણ તકલીફ ન પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈએ આવવાનું નથીતમામ વેપારીઓને પણ ગમે એવી નાની-મોટી જે કંઈ પણ મુશ્કેલી હતી, એ મુશ્કેલીઓ પણ બેઠકમાં જ દૂર કરવામાં આવી અને સાથે સાથે કોઈપણ પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈએ આવવાનું નથી. કોઈ અફવાઓમાં, કોઈપણ વ્યક્તિ તમને કોઈ ખોટા મેસેજ ફોરવર્ડ કરે છે તો સરકારી વિભાગ જોડે તમારે ટેલી કરવાનું છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારની કોઈ માહિતી આવીને માહિતીને સમજ્યા વગર જો એકબીજાને ફોરવર્ડ કરશે, કોઈપણ અફવા ફેલાવવામાં ભાગ બનશે તો તેઓ પર પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક ગુનો દાખલ કરવામાં આવશે. કાળાબજારી કરતાં લોકો પર પણ વોચ રાખવામાં આવી રહી છેછેલ્લા અનેક દિવસોમાં ગુજરાતના ખૂણેખૂણેથી કાળાબજારી કરનાર લોકો ઉપર કડક પગલાં ભરવામાં આવ્યા છે અને હાલમાં પણ દરેક જિલ્લાઓમાં અલગ-અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે, આ પ્રકારની અફવા ફેલાવનાર લોકો પર, ગમે તે હોય તેના પર સીધે સીધું એક્શન લઈને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે, જેથી કોઈ સામાન્ય નાગરિક એમની અફવાઓનો શિકાર ન બને. અને આ જ પ્રકારે એ અલગ-અલગ ટુકડીઓ દ્વારા આ કાળાબજારી કરતાં લોકો ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે. નાગરિકો જોડે સીધા સંપર્કમાં રહી રહ્યા છે, જેથી કોઈ ગેસની બોટલ હોય, પેટ્રોલ-ડીઝલનો કોઈ જથ્થો હોય કે પછી કોઈપણ પ્રકારની બીજી જીવનજરૂરિયાત વસ્તુઓને કોઈપણ પ્રકારે જો કોઈ કાળાબજારી કરતું હશે તો એની ઉપર ધ્યાન રાખવા માટે તમામ જિલ્લા, તમામ શહેરોમાં અલગ-અલગ વિભાગોની જોડે મળીને એક અલગ-અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. જેની માત્રને માત્ર કામગીરી આ કાળાબજારીઓ ઉપર ધ્યાન રાખવાનું રહેશે. કોમ્યુનિટી કિચનની મદદથી અન્ય રાજ્યથી આવેલા લોકો માટે ભોજનની વ્યવસ્થાસામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીઝ અને સરકાર સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝને સહયોગી તમામ જિલ્લાઓની અંદર જે કલેક્ટર છે, એમની કમિટી છે, એમનો સહયોગ ઇન્ડસ્ટ્રીઝને મળી રહ્યો છે એવું ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાણકારી આપવામાં આવી અને ખૂબ સારી વાત એ કહેવાય કે, ગુજરાત એ દેશનું રોલ મોડલ છે. આપણા બધા જ વેપારીઓ, બધી જ ઇન્ડસ્ટ્રીઝ, એમને અભિનંદન એટલે આપવા પડે કે સામાન્ય જેવી તકલીફની હજી શરૂઆત થાય તે પહેલાં, તેમને કોમ્યુનિટી કિચન એટલે કે સામાજિક સંસ્થાઓ દ્વારા આપણી જોડે રહીને વર્ષોથી કામ કરતા અને અન્ય રાજ્યથી આવેલા આપણી જ વચ્ચેના આપણા પરિવારો માટે તાત્કાલિક ભોજનની વ્યવસ્થાઓ ચાલુ કરી દેવામાં આવી. આગામી દિવસોના સારા પ્લાનિંગ માટે સંકલન બેઠક યોજાઈ હતીઆપણે ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોમાં આવા 118 જેટલા કોમ્યુનિટી કિચન ચાલુ કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીન છે અને ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીનની અંદર ગેસનો પૂરતા પ્રમાણમાં કેવી રીતે જથ્થો મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો ખાસ કરીને આપણા ત્યાં કોઈપણ પ્રકારની તકલીફ હાલમાં પણ નથી અને આવનારા દિવસોમાં પણ કોઈપણ પ્રકારની તકલીફ આ બાબતે નથી પડવાની. જેથી, ઇન્ડસ્ટ્રીઝ પોતપોતાના વર્કર્સ જોડે મળીને આવનારા દિવસોનું પ્લાનિંગ સારી રીતે કરી શકે તે માટેની આ એક સંકલન બેઠક હતી. મીટિંગમાં ખાસ કરીને ગેસ અને ગેસની અછતના મુદ્દાઓ પર ચર્ચા થઈનિખિલ મદ્રાસી (પ્રમુખ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુરત) એ જણાવ્યું હતું કે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથેની મીટિંગમાં ખાસ કરીને ગેસ અને ગેસની અછતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સરકારે લગભગ બધી જ માંગણીઓ સ્વીકારી લીધી છે અને ગરીબ વર્ગને, ખાસ કરીને કારીગર વર્ગ હિજરત નહીં કરી જાય, એ માટેના તમામ પગલાઓ લેવા માટેની ખાતરી આપી છે. અમારી હાજરીની અંદર જ સરકારના તમામ વિભાગોને અને અધિકારીઓને એ સંદર્ભે સૂચના પણ આપી દેવામાં આવી છે. ગેસ ઉપરાંત જેટલા પણ વૈકલ્પિક ઇંધણ ઉપલબ્ધ છે, એ વૈકલ્પિક ઇંધણો કઈ રીતે ઝડપથી ઉદ્યોગને પ્રાપ્ત થઈ શકે તે માટેની સૂચનાઓ પણ અપાઈ છે. ઓવરઓલ જોવા જઈએ તો આ મીટિંગની અંદર આવનારા દિવસોમાં ઉદ્યોગના સંદર્ભના ઘણા બધા પ્રશ્નો ગેસના ચોક્કસ જ સમેટાઈ જશે. અમે જે કેટલાક બીજા પ્રશ્નો રજૂ કર્યા છે, એ અમે આવેદનપત્ર દ્વારા આપી દીધા છે, જેને કારણે આખી જે ઓવરઓલ પરિસ્થિતિ ઊભી થઈ છે, તે ઓવરઓલ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ઉદ્યોગોને શું મદદરૂપ થઈ શકે અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પણ કેટલીક માંગણીઓ અમે મૂકી છે, જેનો પણ હકારાત્મક પ્રતિસાદ અમને સાંપડ્યો છે. કલેકટર અને તમામ સ્ટાફને પણ અહીંયા બોલાવ્યા હતાઅશોક જીરાવાલા (વાઈસ પ્રેસિડેન્ટ SGCCI અને પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન) એ જણાવ્યું હતું કે, આજે જે ડેપ્યુટી સીએમ સાથે અમારી મુલાકાત હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની તમામ ઈન્ડસ્ટ્રીઝને તેમણે બોલાવ્યા હતા કે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, યુદ્ધની અંદર તમારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ઘરેલુ ઇન્ડસ્ટ્રીઝને શું મુશ્કેલી આવી રહી છે એનું નિરાકરણ કરવા માટે અને એની વાતો સાંભળવા માટે, ખાસ કરીને પીડા સાંભળવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને એમની સાથે કલેકટર અને તમામ સ્ટાફને પણ પુરવઠા અધિકારીઓ તમામ ને અહીંયા બોલાવેલા હતા. 5 કિલોના બાટલાઓ છે એ તમારે શ્રમજીવી જે વર્કરો છે એમને પ્રોવાઈડ કરવાની વાત કરીઅમારી જે રજૂઆત હતી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે આખા દેશની અંદર સૌથી મોટી વધારેમાં વધારે રોજગારી આપતી ઇન્ડસ્ટ્રી એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અત્યારે જે પ્રોબ્લેમ છે એ ખાસ કરીને જ્યારે મજૂરો પલાયન થઈ રહ્યા છે. મતલબ મજૂરો જતા રહી રહ્યા છે એમના પોતાના વતનમાં ગેસને લઈને, એની માટેની ખાસ અમારી રજૂઆત હતી. તો એ રજૂઆતને ડેપ્યુટી CMએ અમારી વાતને સાંભળી છે અને એને નિરાકરણ કરવા માટે ત્યાં ને ત્યાં અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે કે, જે 5 કિલોના બાટલાઓ છે એ તમારે શ્રમજીવી જે વર્કરો છે એમને પ્રોવાઈડ કરવાની વાત કરી છે. કલેક્ટરને પણ કહેવડાવવામાં આવ્યું છે અને બાકીની જે વાત છે ખાસ કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલી અનુભવી રહી છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું છે, તો એમણે જ્યાં તકલીફ હશે ત્યાં સરકાર અને અધિકારીઓ તમામે તમામ તમારી સાથે ઉભા રહેશે. કારણ કે જે પરિસ્થિતિ અત્યારે યુદ્ધની છે એની અંદર ધીરે ધીરે થાળે પડતા થોડીક વાર લાગશે, પણ ગભરાવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે એવું આશ્વાસન આપ્યું છે અને હું એવું માનું છું કે, જે રીતે વાત થઈ છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક બાટલા મળવાના શરૂ થયા છે. કોઈ જાતનો કૃત્રિમ ભાવવધારો નહીં કરવાની પણ જાહેરાત કરીઅમે વાત કરી હતી કાળાબજારની તો કાળાબજારને રોકવા માટેનો પણ એ લોકોએ સખત કાર્યવાહી કરવા માટેનું પણ આહવાન કર્યું છે. ક્યાંય પણ સાંખી લેવામાં નહીં આવે, કોઈ જાતનો કૃત્રિમ ભાવવધારો નહીં કરવાની પણ જાહેરાત કરી છે. હું એવું માનું છું કે આ વાતને લઈને આખી ઇન્ડસ્ટ્રીઝમાં એક આશ્વાસન મળ્યું છે. અને હું એવું માનું છું કે હવે જે બાટલા જે ઘટ હતી, અમે તો એવી વાત કરી હતી કે ઇન્ડસ્ટ્રીયલ જે સબસિડીના બાટલા છે એની જગ્યાએ કદાચ કોમર્શિયલ પણ મળી જશે, પણ 5 કિલોના બાટલા મળે જેથી કરીને એમના ફેમિલીને ઘરે લઈ જઈને પણ રસોઈ બનાવી શકે અને રોકાઈ શકે. 5 કિલોના ગેસના સિલિન્ડર મોટા પ્રમાણમાં છૂટથી મળે એનું પ્લાનિંગ કરી રહ્યો છુંજીતુભાઈ વખારિયા (પ્રેસિડેન્ટ, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન) એ જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યના ઉપમંત્રી અને આપણા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આજે ઉદ્યોગોને સામે બોલાવીને એમના પ્રશ્નો પૂછીને ઘણા બધા પ્રશ્નોનો અમને ઓન-ધ-સ્પોટ સપોઝ કે જે કારીગરોને ગેસ નથી મળતો તે એમને પહેલેથી જ કહી દીધું કે હું 5 કિલોના ગેસના સિલિન્ડર મોટા પ્રમાણમાં છૂટથી મળે એનું પ્લાનિંગ કરી રહ્યો છું અને બે-ચાર દિવસમાં, પાંચ દિવસમાં તમને એનું રિઝલ્ટ પરિણામ જોવા મળશે. બીજા ઇન્ડસ્ટ્રીના જે કોલસાના ઇસ્યુ છે, પછી બીજા કોઈ પણ નાના-મોટા ઇસ્યુ છે એ તમામ એમને શાંતિથી સાંભળીને ને સ્પષ્ટ રીતે એમને ત્યાં જ સાથે જ એમના ઉદ્યોગ સેક્રેટરી, એમના ઓફિસના બધા નીચેના સ્ટાફને બોલાવીને ઈમીડિએટ એમને બધાને આ ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે. અને જે રીતે એમને પ્રશ્નોના હલ કર્યા છે તેથી જે ગઈકાલ સુધી કે આજે સવાર સુધી અમે જે ટેન્શનમાં જીવતા હતા એની જગ્યાએ એમને બિલકુલ ટેન્શન મુક્ત કરીને અમને બધી ખાતરી આપેલી છે. જે ઉદ્યોગોમાં મોટી સમસ્યાઓ હતી એ સમસ્યાના પણ એમને તરત જ સમાધાન બધા બતાવીને તે રસ્તે ચાલવાનું કહ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:33 pm

સંજીવની પ્રી-સ્કૂલના બાળકોએ કિડ્સ સિટીની મુલાકાત લીધી:જ્યાં રમતા રમતા વિવિધ વ્યવસાયો વિશે જાણ્યું

અમદાવાદના રાઇખડ વિસ્તારમાં આવેલી સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલના બાળકો માટે શૈક્ષણિક અને મનોરંજક પ્રવાસનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત વિદ્યાર્થીઓને કાંકરીયા કિડ્સ સિટી ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને રમતા રમતા શીખવાની અનોખી તક મળી. આ મુલાકાત દરમિયાન બાળકો ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા. કિડ્સ સિટીમાં તેમને ડોક્ટર, પોલીસ, ફાયર ફાઇટર, ટ્રાન્સપોર્ટેશન અને કોર્ટ સહિત વિવિધ વ્યવસાયોનું રોલ પ્લે કરવાનો અવસર મળ્યો. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સમાજમાં વિવિધ ક્ષેત્રોની કામગીરી અને જવાબદારીઓ વિશે સરળ અને રસપ્રદ રીતે સમજણ મળી. કિડ્સ સિટી એક નાનકડા શહેરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનું સર્જન કરાયું છે. અહીં બાળકોને હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, કોર્ટ અને ફાયર સ્ટેશન જેવી સુવિધાઓનો અનુભવ કરાવવામાં આવે છે, જેનાથી તેઓ પ્રાયોગિક રીતે શીખી શકે. આ પ્રવાસમાં બાળકોને સંપૂર્ણ સુરક્ષિત અને માર્ગદર્શિત વાતાવરણમાં પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. શિક્ષકો અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ બાળકો દરેક પ્રવૃત્તિમાં સક્રિયપણે જોડાયા અને આનંદ સાથે નવી માહિતી મેળવી. આ શૈક્ષણિક પ્રવાસનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ મુલાકાતથી બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો, ટીમવર્કની ભાવના વિકસિત થઈ અને તેઓમાં વિવિધ વ્યવસાયો પ્રત્યે જિજ્ઞાસા ઊભી થઈ.શાળાના સંચાલકોએ જણાવ્યું કે આવા શૈક્ષણિક પ્રવાસો દ્વારા બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે પ્રાયોગિક જ્ઞાન પણ મળે છે, જે તેમના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:33 pm

પ્રજ્ઞાચક્ષુ દીકરીએ સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કર્યાં:સંસ્કૃત બોર્ડ દ્વારા રાજભવન ખાતે સન્માનિત કરાઈ

જૂનાગઢની પ્રજ્ઞાચક્ષુ દીકરી મંજુલાબેન કરમુરે સંપૂર્ણ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા રાજભવન ખાતે એક સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંજુલાબેન ભલાભાઈ કરમુર, જે પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય, જૂનાગઢના વિદ્યાર્થી છે, તેમણે ગીતાજીના 18 અધ્યાયના તમામ શ્લોકો યાદ રાખ્યા છે. આ સિદ્ધિ બદલ તેમને રોકડ રકમ, ખેસ અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ભાગ્યેશ જાવા, કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ અને ડૉ. સંદીપ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંજુલાબેનની આ સિદ્ધિ બદલ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથીએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આનાથી સંસ્થાનું નામ રોશન થયું છે. આ પ્રસંગે જૂનાગઢના અગ્રણી ડોલરભાઈ કોટેચા દ્વારા મંજુલાબેનની રાજભવન સુધીની અવરજવરની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના ટ્રસ્ટીઓ અરવિંદભાઈ મરડિયા, બટુક બાપુ, શાંતાબેન બેસ, મનીષભાઈ લોઢીયા અને અલ્પેશભાઈ પરમાર સહિત જૂનાગઢના સેવાભાવી દાતાઓએ પણ મંજુલાબેનને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:32 pm

સુરતમાં હરે કૃષ્ણ મૂવમેન્ટ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાયો:27 માર્ચ 2026ના રોજ ભગવાન રામચંદ્રના અવતરણની યાદગીરી

હરે કૃષ્ણ મૂવમેન્ટ સુરત દ્વારા શુક્રવાર, 27 માર્ચ 2026 ના રોજ રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના ત્યાં થયેલા દિવ્ય અવતરણની યાદમાં યોજાયો હતો. આશરે ઘણા ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.ઉત્સવ દરમિયાન, શ્રદ્ધાળુ ભક્તોએ આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો. તેમણે ભગવાન શ્રી રામના પવિત્ર નામનું રટણ કરીને અને રામાયણનું શ્રવણ કરીને ભગવાન રામનું સ્મરણ કર્યું હતું. હરે કૃષ્ણ મંદિર સુરતમાં ભગવાન રામજી અને નીતાઈ ગૌરંગાના મંડપને વિશેષ અલંકારથી શણગારવામાં આવ્યા હતા. ઉત્સવના વિશેષ ભાગરૂપે, અતિ સુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા ભગવાન રામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સૌ ભક્તોએ રામ અષ્ટોત્તર શત્ નામ (108 નામ) અને અન્ય વૈદિક મંત્રઘોષ સાથે રામ તારક યજ્ઞ કર્યો હતો. હરે કૃષ્ણ મૂવમેન્ટ સુરતના સહયોગી ઉપપ્રમુખ રોહિણી નંદન દાસ પ્રભુજી દ્વારા ભગવાન વિષયે રમણીય પ્રવચન આપવામાં આવ્યું.અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી હતી, જે દરમિયાન સૌ ભક્તોએ શ્રી નામ રામાયણનું ગાન કર્યું હતું. આ રામાયણમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:30 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડીંડોલી-કતારગામ દરવાજા નજીક ભાજપ વિરોધી પોસ્ટર કોણે લગાવ્યાો?, શહેરમાં ટૂંક સમયમાં મેટ્રો દોડતી થશે

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:30 pm

પાટણની બહેરા-મૂંગા શાળાના 8 ખેલાડીઓએ 13 મેડલ જીત્યા:નેશનલ ડેફ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફ ન્યુ દિલ્હી દ્વારા આયોજિત અને ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફની યજમાનીમાં અમદાવાદ ખાતે નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં પાટણની એમ.કે.વ્યાસ અને વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળાના આઠ બધિર ખેલાડીઓએ કુલ તેર મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ નેશનલ ડેફ ચેમ્પિયનશિપની એથ્લેટિક ઇવેન્ટમાં દેશના 21 રાજ્યોના લગભગ 750 જેટલા બધિર ખેલાડીઓએ ભાગ લીધો હતો. પાટણની શાળામાંથી કુલ બાર ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી આઠ ખેલાડીઓએ મેડલ જીત્યા. મેડલ વિજેતા ખેલાડીઓમાં ક્રિષ્નુજી ઠાકોરે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ સહિત બે મેડલ મેળવ્યા હતા. નિતા રબારીએ ત્રણ ગોલ્ડ મેડલ જીતી 800 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આ ઉપરાંત, કરિશ્મા દેવીપૂજકે બે મેડલ, કોમલ ડોસાણીએ એક ગોલ્ડ, પૂજા ઠાકોરે બે સિલ્વર, અર્જુન પટણીએ એક બ્રોન્ઝ, રાજવીર પંડ્યાએ એક સિલ્વર અને કાજલ પ્રજાપતિએ એક સિલ્વર મેડલ જીત્યા હતા. કુલ મળીને શાળાના ખેલાડીઓએ છ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે કુલ તેર મેડલ જીત્યા હતા. ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત ગોલ્ડ મેડાલીસ્ટને ત્રણ લાખ, સિલ્વર મેડાલીસ્ટને બે લાખ અને બ્રોન્ઝ મેડાલીસ્ટને એક લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે. આ તમામ ખેલાડીઓને કુલ પચ્ચીસ લાખથી વધુનો પુરસ્કાર પ્રાપ્ત થશે. આ ખેલાડીઓની સિદ્ધિ બદલ શાળાને રાષ્ટ્રીય કક્ષાએ નામના મળી છે અને ગુજરાત તેમજ પાટણનું ગૌરવ વધ્યું છે. રાષ્ટ્રીય એવોર્ડી શાળાના આચાર્ય સાથે કોચ ઘેમરભાઈ દેસાઈ અને તેમની ટીમની મહેનત સફળ રહી છે. શાળાનો ધ્યેય બધિર બાળકોને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ અપાવવાનો હતો, જે તેમણે અત્યાર સુધીમાં કુલ પચ્ચીસ રાષ્ટ્રીય કક્ષાના મેડલ અપાવીને પૂર્ણ કર્યો છે. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. વાગડોદાએ આ સિદ્ધિને બિરદાવી રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના મુંબઈથી ટ્રસ્ટીઓ નિરંજનભાઈ વ્યાસ, અલ્કેશભાઈ વ્યાસ, ભરતભાઈ શાહ, અમિતભાઈ શાહ, મંત્રી દેવેન્દ્રભાઈ, સહમંત્રી કુસુમબેન, વહીવટી અધિકારી ઉષાબેન તેમજ શાળા પરિવારે વિજેતા ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, પ્રભુભાઈ ચૌધરી અને જોશ અકાદમીના મન જોશીએ પણ ખેલાડીઓ તથા કોચને બિરદાવ્યા હતા. ખેલાડીઓને રોજ સવારે પ્રેક્ટિસમાં માર્ગદર્શન આપનાર મેરેથોન ખેલાડી કોચ રાહુલ સલાટ, જોશ એકેડેમી, જિલ્લા રમત ગમત સંકુલની ટીમ, વર્ષાબેન જોષી, નિર્મળાબેન સથવારા, શિલ્પાબેન ઠાકોર અને શાળા-છાત્રાલયના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પાટણને આ ગૌરવ અપાવનાર બધિર ખેલાડીઓ અને કોચને સમગ્ર પાટણ પંથક અને રાજ્યભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:27 pm

અમદાવાદમાં અંડર-18 ચેસ ટુર્નામેન્ટ યોજાઈ:1000થી વધુ ખેલાડીઓ ભાગ લીધો, 4 લાખના ઇનામો અપાયા

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ‘ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ અંડર-18 ચેસ ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી 1000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ક્રીડા-ભારતી ગુજરાત પ્રાંત જેવી સંસ્થાઓએ પણ સહયોગ પૂરો પાડ્યો હતો. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. ટી.એસ. જોષી, ગુજરાતના પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે, ચેસ એસોસિયેશનના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ મયુર પટેલ અને આંતરરાષ્ટ્રીય આર્બિટર અનંતરામ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ અંડર-18 ચેસ સ્પર્ધામાં કુલ 133 વિજેતાઓને 4 લાખ રૂપિયાની ઇનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમાંકે મહારાષ્ટ્રના જયવીર મહેન્દ્રુ, બીજા ક્રમાંકે મહારાષ્ટ્રના શરણાર્થી વિરેશ, ત્રીજા ક્રમાંકે તમિલનાડુના હરિદેવ એસ, ચોથા ક્રમાંકે ઉત્તર પ્રદેશના આર્નવ અગ્રવાલ અને પાંચમા ક્રમાંકે ગુજરાતના રોશ જૈન વિજેતા બન્યા હતા. પ્રથમ પાંચ ક્રમાંકના વિજેતાઓને ટ્રોફી અને ઇનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઇન્ટરનેશનલ ચેસ કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અને ઇ-સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:26 pm

મારવાડી યુનિવર્સિટીમાં 326 યુનિટ રક્ત એકત્રિત:AIIMS અને PDU રાજકોટના સહયોગથી 15મી શિબિર સંપન્ન

મારવાડી યુનિવર્સિટી ખાતે NSS દ્વારા આયોજિત અને NCC, AIIMS રાજકોટ તેમજ PDU રાજકોટ બ્લડ બેન્કના સહયોગથી 15મી રક્તદાન શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ શિબિરમાં કુલ 326 વિદ્યાર્થી સ્વયંસેવકોએ રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાસ કરીને, અનેક આંતરરાષ્ટ્રીય અને ભારતના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાન શિબિર દરમિયાન, 24 માર્ચ, 2026ના રોજ AIIMS રાજકોટ બ્લડ બેન્ક દ્વારા 102 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, 25 માર્ચ, 2026ના રોજ PDU રાજકોટ બ્લડ બેન્ક દ્વારા 224 યુનિટ રક્ત એકત્રિત થયું, આમ કુલ 326 યુનિટ રક્તનો સંગ્રહ થયો. આ 15મી શિબિરના આયોજન પહેલાં, યુનિવર્સિટી દ્વારા યોજાયેલી અગાઉની 14 રક્તદાન શિબિરો થકી કુલ 4106 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ નવી શિબિરના 326 યુનિટ સાથે, છેલ્લા નવ વર્ષનો કુલ આંકડો વધીને 4432 બોટલ સુધી પહોંચ્યો છે, જે યુનિવર્સિટીના સમાજ પ્રત્યેના સતત યોગદાનને દર્શાવે છે. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવા સામાજિક કાર્યકર દેવ કારડીયા અને કેયૂર ઢોલરીયા, ડીન – સ્ટુડન્ટ વેલફેર પ્રોફ. (ડૉ.) રાજેશ પટેલ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મુકેશ ટાંક તેમજ NSS કાર્યક્રમ સંયોજક પ્રોફ. નવનીત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરને સફળ બનાવવા માટે NSS સંચાલક પ્રોફ. કૃતિ રાઠોડના માર્ગદર્શન હેઠળ NSS અને NCCના વિદ્યાર્થીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે વર્ગવાર જાગૃતિ અભિયાન ચલાવીને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ રક્તદાન શિબિરમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને માનવસેવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જે યુનિવર્સિટીના વૈવિધ્યસભર વિદ્યાર્થી સમુદાયની સામાજિક જવાબદારી દર્શાવે છે. આ પ્રસંગે ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, “મારવાડી યુનિવર્સિટી તમામ રક્તદાતાઓ અને આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આવી માનવસેવાના કાર્યોમાં ભવિષ્યમાં પણ વિદ્યાર્થી સમાજ વધુ ઉત્સાહથી જોડાય તેવી અમારી શુભકામનાઓ છે.” યુનિવર્સિટીના વાઇસ ચેરમેન અને કો–ફાઉન્ડર જીતુભાઈ ચંદારાણાએ જણાવ્યું હતું કે, “આવા માનવતાભર્યા કાર્યક્રમો માત્ર રક્તદાન પૂરતા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સેવા, કરુણા અને સામાજિક જવાબદારીના મૂલ્યોને મજબૂત બનાવે છે. દરેક વિદ્યાર્થીમાં રહેલી ‘ગિવિંગ સ્પિરિટ’ અમને ગર્વ અનુભવાવે છે. યુનિવર્સિટી ભવિષ્યમાં પણ આવા પરિવર્તનકારી પ્રયાસો માટે પ્રતિબદ્ધ રહેશે.”

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:24 pm

બોમ્બે મેટલ શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય અપાઈ:સપ્તમ સમારોહમાં સન્માન પત્રો, પક્ષી કુંડા અને નાસ્તો વિતરણ કરાયું

પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં 27 માર્ચ, 2026ના રોજ સપ્તમ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે IDBI બેંકના મેનેજર અશ્વિની સિંહ રાજપૂત, શાળાના વાલી રાજુભાઈ પરમાર, સિનિયર શિક્ષક શીતલબેન પટેલ અને ધોરણ 8ના વર્ગ શિક્ષક બીનાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું ભારતીય રીતિ-રિવાજ મુજબ સુખડ અને કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે આદર્શ વિદ્યાર્થી, પ્રમાણિકતા અને વર્ષ દરમિયાન વધુ હાજરી તેમજ શિસ્ત બદલના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ પણ આ પ્રસંગે પોતાના શાળાના અનુભવો રજૂ કર્યા હતા. શાળાના બાળકોમાં જીવદયા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી પક્ષીઓ માટે પાણી પીવાના 164 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ માનવ સેવા ટ્રસ્ટ ગુજરાતના મનોજભાઈ જેઠવા અને તેમના સહયોગીઓ ગિરીશભાઈ ચૌધરી (હિંમતનગર), પ્રબોધભાઈ શાહ (કચ્છ), નચિકેતા ટ્રસ્ટ સુરતના પ્રવીણભાઈ જયંતિભાઈ, મયંકભાઈ મકવાણા, હસમુખભાઈ સોલંકી, હંસાબેન ભોજ (આર્ટિસ્ટ) અને સતીષ વાઘેલાના સહયોગથી થયું હતું. આ ઉપરાંત, શાળાના દરેક બાળકને પેન્સિલ અને બોલપેન પણ આપવામાં આવી હતી. શાળાના શિક્ષિકા હેતલબેન દ્વારા દરેક બાળકોને નાસ્તામાં સ્વાદિષ્ટ ઢોકળા આપવામાં આવ્યા હતા. IDBI બેંકના મેનેજર અશ્વિની સિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:23 pm

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વૈષ્ણોદેવી ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળ:સમાજના યુવાનોમાં એકતા અને સકારાત્મકતાનો સંદેશ

ગઈકાલે તા. 28 માર્ચ 2026ના રોજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વૈષ્ણોદેવી દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને એકબીજા સાથે જોડવાનો અને એકતા વધારવાનો હતો. ડિજિટલ યુગમાં જ્યાં પ્રત્યક્ષ સંવાદ ઘટતો જાય છે, ત્યાં આ ટૂર્નામેન્ટ સમાજમાં એકતા અને જોડાણની નવી મિસાલ બની રહ્યું છે. યુવાનોને મેદાન પર ઉતારી, તેમને પ્રત્યક્ષ મળવાનો અને સમાજ પ્રત્યેની જવાબદારી સમજાવવાનો આ પ્રયાસ હતો. આ કાર્યક્રમ દ્વારા સમાજના યુવાનો એકબીજાના સંપર્કમાં આવ્યા અને તેમની વચ્ચે એકતા મજબૂત બની. રમતગમત દ્વારા યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને ટીમ સ્પિરિટ વિકસે તે માટે પ્રેરણા આપવામાં આવી હતી. મેદાન પર ઉત્સાહભર્યું અને તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ જોવા મળ્યું, જેણે યુવાનોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો. ખેલાડીઓ અને પ્રેક્ષકો વચ્ચેના સંવાદથી સમાજના વિવિધ વર્ગો વચ્ચે આત્મીયતા અને નજીકતા મજબૂત બની. ટૂર્નામેન્ટ મોડી રાત્રે 2 વાગ્યા સુધી સફળતાપૂર્વક ચાલી, જે યુવાનોના ઉત્સાહ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ માટે પરંપરાગત નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં સૌએ સાથે બેસીને સંવાદ અને આત્મીયતાનો આનંદ માણ્યો. આવા આયોજનો સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાના પથ્થર સમાન છે. યુવાનોને યોગ્ય દિશા આપવા, તેમને સંસ્કારો સાથે જોડવા અને સમાજમાં એકતા મજબૂત બનાવવા માટે આ એક સશક્ત માધ્યમ સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:22 pm

અંબિકા નદી પર 16 કરોડના ખર્ચે પુલ બનશે:વાંસદાના વાટી ગામની વર્ષો જૂની સમસ્યાનો અંત, 3 જિલ્લાને લાભ

વાંસદા તાલુકાના વાટી ગામે અંબિકા નદી પર ₹16 કરોડના ખર્ચે પુલનું નિર્માણ થશે. આ પુલની વર્ષો જૂની માંગ સંતોષાતા ગ્રામજનોને મોટી રાહત મળી છે. વલસાડના સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ રાજ્ય સરકારે ભંડોળ ફાળવ્યું હતું, અને આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાટી અને કાળા આંબા ગામ વચ્ચે અંબિકા નદી હોવાથી અત્યાર સુધી પુલનો અભાવ હતો. ચોમાસામાં નદીનું જળસ્તર વધતા વાટી ગામનો સંપર્ક કપાઈ જતો હતો. ગ્રામજનોને અવરજવર માટે આશરે 30 કિલોમીટરનો લાંબો ચકરાવો લેવો પડતો હતો. આ સમસ્યા અંગે અનેક વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ નવો પુલ માત્ર વાટી અને કાળા આંબા ગામને જ નહીં, પરંતુ નવસારી, ડાંગ અને તાપી એમ ત્રણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોને જોડશે. ₹16 કરોડના ખર્ચે બનનારો આ પુલ હજારો લોકો માટે અવરજવર સરળ બનાવશે અને સ્થાનિક આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપશે. પુલના ખાતમુહૂર્ત પ્રસંગે વાટી અને કાળા આંબા ગામના લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ આદિવાસી પરંપરા મુજબ નેતાઓનું સ્વાગત કર્યું હતું અને ઢોલ-નગારાના તાલે નૃત્ય પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:22 pm

કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભગવાનની 245મી જયંતી ઉજવાઈ:બાળકોને સંસ્કારી બનાવવા માતાપિતાએ ભક્તિમય જીવન જીવવું પડશે:સાધુ પ્રેમવત્સલદાસજી

અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે તા. 27 માર્ચ, શુક્રવારના રોજ સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં ૧૨ કલાકની અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ધૂન અને અબજીબાપાની વાતોની પારાયણ યોજાઈ હતી. સાધુ પ્રેમવત્સલદાસજી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કવન પર કથામૃતનું પાન કરાવ્યું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, બાળકોને સંસ્કારી બનાવવા માટે માતાપિતાએ ભક્તિમય અને સદાચારમય જીવન જીવવું પડશે. બાળકો વડીલોનું વર્તન જોઈને જ શીખે છે.સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ ભગવાનના જીવન વિશે માહિતી આપતા જણાવ્યું કે, તેમનો જન્મ સંવત્ 1837ના ચૈત્ર સુદ નોમના રોજ છપૈયા ખાતે થયો હતો. વિક્રમ સંવત્ 1858ની કારતક સુદ એકાદશીએ પીપલાણામાં રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપીને સહજાનંદ સ્વામી નામ આપ્યું હતું. ત્યારબાદ તેઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા. સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોએ સમાજના ઉત્થાન માટે વ્યસનમુક્તિ અભિયાન ચલાવી અનેક લોકોને સદાચારી જીવન જીવતા કર્યા છે. સંપ્રદાયના સંતોએ 40,000થી વધુ કીર્તનોની રચના કરી છે. શ્રીજીમહારાજે શિક્ષાપત્રી અને વચનામૃત જેવા અનેક ગ્રંથોની રચના કરી. સંસ્કારોનું પોષણ થાય તે હેતુથી તેમણે અનેક મંદિરોની સ્થાપના કરી, જેમાં સૌપ્રથમ મંદિર ઈ.સ. 1878માં અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું હતું. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશમાં અસંખ્ય મંદિરો, સંતો અને સત્સંગીઓ છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું કે, સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રમાણિક જીવન જીવવું જોઈએ. કોઈના હક્કનું ન લેવું, લાંચ-રુશ્વતથી દૂર રહેવું અને સદાચારી બનવું. તેમણે દરેક ઘરમાં નિયમિત ઘરસભા, સમૂહ ભોજન અને સમૂહ ભજન કરવા પર ભાર મૂક્યો. ઘરનું વાતાવરણ મંદિર જેવું ભક્તિમય અને સંયમી હોવું જોઈએ, કારણ કે બાળકો વડીલોના વર્તનમાંથી જ શીખે છે.આ પ્રસંગે ભિખુભાઈ દવે અને જયભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:21 pm

પ્રિયકાન્ત મણિયાર શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ:કેપી ફાઉન્ડેશનના સહયોગથી 269 વિદ્યાર્થીઓએ પ્રતિભા દર્શાવી

સુરતની પ્રિયકાન્ત મણિયાર શાળા નંબર 338માં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ચેરમેન ડૉ. ફારૂક પટેલના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ 269 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં તેમની કલાત્મકતા અને સર્જનાત્મકતા સ્પષ્ટપણે જોવા મળી હતી. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દરેક વિદ્યાર્થી માટે સુંદર અને આકર્ષક પોશાકોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી કાર્યક્રમ વધુ રંગીન અને યાદગાર બન્યો. સમગ્ર કાર્યક્રમ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ, જેમ કે સાઉન્ડ સિસ્ટમ, સ્ટેજ અને અન્ય સુવિધાઓ, કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 29 વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેણે બાળકોમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા જગાવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, શિક્ષકો અને કેપી ટીમે સંપૂર્ણ તૈયારી કરી હતી અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેપી ગ્રુપના ચેરમેન ડૉ. ફારૂક પટેલ પ્રાથમિક સ્તરે શિક્ષણને વિશેષ મહત્વ આપે છે. તેમના માર્ગદર્શન હેઠળ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આવા કાર્યક્રમોનું આયોજન કરે છે.આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. તે બાળકોને તેમની પ્રતિભા રજૂ કરવા માટે એક મંચ પૂરો પાડે છે અને તેમનામાં આત્મવિશ્વાસ વધારવાની તક આપે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:19 pm

વિદ્યાર્થીનું જર્નલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પબ્લિશ:સાયબર સેફટી અને ડિજિટલ લિટરેસી વિષય પર સંશોધન

સ્વામિનારાયણ કોલેજ ઓફ સાયન્સના વિદ્યાર્થી જીલ પરેશભાઈ કણસાગરાએ તાજેતરમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં તેમણે 'સાયબર સેફટી અને ડિજિટલ લિટરેસી' વિષય પર પોતાનું સંશોધન પેપર રજૂ કર્યું હતું. આ કોન્ફરન્સનું આયોજન સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને વ્યૂ ઓફ સ્પેસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત સંશોધકોએ ભાગ લીધો હતો. જીલના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે. તેમનું સંશોધન પેપર ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇનોવેટિવ રિસર્ચ ઇન ટેકનોલોજી તેમજ વ્યૂ ઓફ સ્પેસમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.આ સિદ્ધિથી કોલેજ અને પરિવારજનોમાં ગૌરવની લાગણી પ્રસરી છે. જીલ કણસાગરાની આ ઉપલબ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:17 pm

ભાવનગર ગુરુકુલના આચાર્યના 6 સંશોધન પેપર પ્રકાશિત:આંતરરાષ્ટ્રીય જર્નલ અને કોન્ફરન્સમાં રજૂ કરાયા

સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગરના આચાર્ય પટેલ ધર્મકુમાર બટુકભાઈએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેમણે એકસાથે કુલ છ સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ તથા ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલીતાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના સંશોધકો અને પ્રાધ્યાપકો જોડાયા હતા, જ્યાં આચાર્ય પટેલે શિક્ષણ ક્ષેત્રના આધુનિક વિષયો પર પોતાના સંશોધન રજૂ કર્યા. આચાર્યશ્રીએ નવી શિક્ષણ નીતિ 2020, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાળપણમાં શૈક્ષણિક વિકાસ, શાળા વ્યવસ્થાપનમાં નવીનતા અને મૂલ્ય શિક્ષણ જેવા વિવિધ વિષયો પર સંશોધન પેપર પ્રકાશિત કર્યા છે. આ તમામ પેપરો International Journal of Innovative Research in Technology (IJIRT) અને View of Space: International Multidisciplinary Journal for Applied Research જેવા આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયા છે. ખાસ કરીને, નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુરુકુલ શિક્ષણ પદ્ધતિનું આધુનિક શિક્ષણમાં પ્રાસંગિક વિશ્લેષણ વિષય પરના સંશોધનમાં પ્રાચીન ગુરુકુલ શિક્ષણ પદ્ધતિના મૂલ્યો, સંસ્કાર આધારિત શિક્ષણ, જીવન કૌશલ્ય, સ્વાનુશાસન, ગુરુ-શિષ્ય સંબંધ અને વ્યવહારિક શિક્ષણનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સંશોધન દર્શાવે છે કે ગુરુકુલ પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજી આધારિત શિક્ષણનું સંકલન શિક્ષણને વધુ અસરકારક બનાવી શકે છે. આચાર્ય પટેલ ધર્મકુમાર બટુકભાઈએ જણાવ્યું હતું કે શિક્ષકે માત્ર પાઠ્યપુસ્તક પૂરતા સીમિત ન રહેવું જોઈએ. સંશોધન, નવી ટેકનોલોજી, નવી શિક્ષણ પદ્ધતિઓ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ સતત અભ્યાસ અને સંશોધન કરવાથી શિક્ષણની ગુણવત્તામાં મોટો સુધારો થઈ શકે છે. સંશોધન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવી દિશા અને વિચારસરણી વિકસાવે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:17 pm

અમરેલી જિલ્લામાં 3.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો:ખાંભા ગીર પંથકમાં વહેલી સવારે અનુભવાયો, લોકોમાં ચિંતા

અમરેલી જિલ્લામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે વહેલી સવારે 4:10 વાગ્યે 3.1 મેગ્નિટ્યુડની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપ મુખ્યત્વે ખાંભા ગીર વિસ્તારના નાના વિસાવદર, નાની ધારી, ઇંગોરાળા અને અનિડા સહિતના ગામોમાં અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 46 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં હતું. સદભાગ્યે, આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. જોકે, છેલ્લા એક અઠવાડિયામાં આ વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા નોંધાતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભાથી સાવરકુંડલા સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના હળવાથી ભારે આંચકા વધુ આવતા હોય છે, જેના કારણે સ્થાનિક લોકો સતર્ક બની ગયા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:16 pm

સરખેજ રોઝામાં ઈદ મિલન કાર્યક્રમ યોજાયો:વિવિધ સંસ્થાઓ અને ધર્મના લોકો જોડાયા

28 માર્ચના રોજ સરખેજ રોઝા ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા ઈદ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અજીમ ફાઉન્ડેશન, સરખેજ રોઝા ક્રાફ્ટ્સ એન્ડ વિમેન્સ કલેક્ટિવ, સાંઝી વિરાસત અને અમદાવાદ કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમ સાંજે યોજાયો હતો. આ પ્રસંગે જમાતે ઈસ્લામીના અગ્રણી ઈકબાલ મિર્ઝા, કર્મશીલ ફાધર સેડરિક પ્રકાશ, એડવોકેટ સમશાદખાન પઠાન અને ઈમ્તિયાઝ પઠાન, ઉમંગ ફાઉન્ડેશનના સભ્યો, અજીમ ફાઉન્ડેશનના પ્રમુખ મુસ્તુફા ખેડૂવોરા અને અન્ય સંસ્થાઓના સેવાભાવી કાર્યકરો તેમજ સાંજી વિરાસત ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શિબા જ્યોર્જ, સેજલ દંડ, આનંદીબેન ગૌરી વેગનર, ડિઝાઇન કન્સલ્ટન્ટ અફરોઝ મુનશી, ડો. નાઝનીન, ફાધર સ્ટેની પિન્ટો, દર્શન દેસાઈ, નઈમ કાદરી, નિલેશ રાઠોડ, સંજય ભાવે, શ્યામ પરીખ, લીના મિશ્રા, જુમાના અને સમકિત, ખુશી કૌર, નિલાંજન સરકાર, દિક્ષિત પરમાર, હિતેન્દ્ર પીઠડિયા અને રાકેશ મહેરીયા સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જમાતે ઈસ્લામીના અગ્રણી ઈકબાલ મિર્ઝાએ તાજેતરમાં વિધાનસભામાં પસાર કરાયેલા સમાન નાગરિક સંહિતા (UCC) કાયદાને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમણે આ કાયદાની સમાજ પર પડનારી નકારાત્મક અસરો અને નૈતિક દુષ્પરિણામો અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકારે ચોક્કસ સમુદાયને પ્રતાડિત કરવાના બદઈરાદાથી વોટબેંકની રાજનીતિ અમલમાં મૂકી છે. ફાધર સેડરિક પ્રકાશે આવા કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમાજમાં સામાજિક સંવાદિતા અને કોમી એકતા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, અમુક કાયદાઓ લોકોના ફાયદા માટે નહીં, પરંતુ માનવ અધિકાર માટે કાર્યરત સંસ્થાઓ અને લઘુમતી સમુદાયને હેરાન કરવા ચોક્કસ હેતુથી પસાર કરાય છે. આ અંગે તેમણે FCRA અને અન્ય કાયદાઓના દ્રષ્ટાંતો આપ્યા હતા. સરખેજ રોઝા ક્રાફ્ટ્સ એન્ડ વિમેન્સ કલેક્ટિવના ભાવનાબેન રામરખિયાનીએ સરખેજ રોઝા અને તેના આસપાસના પરિસરની જાળવણી પર ભાર મૂક્યો હતો. તેમણે તળાવમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને શુદ્ધ જળ ભરવા માટે અજીમ ફાઉન્ડેશન અને સામાજિક કાર્યકરો દ્વારા કરાયેલી લડતની માહિતી આપી હતી અને તમામ સહયોગી સંસ્થાઓને સક્રિય થવા અનુરોધ કર્યો હતો. અજીમ ફાઉન્ડેશનના સેક્રેટરી દાઉદ કોઠારીયા, ખજાનચી યુનુસ મન્સૂરી અને નઝીર પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન સુશ્રી ભાવનાબેન રામરખિયાની અને અજીમ ફાઉન્ડેશનના પ્રમુખ મુસ્તુફા ખેડુવોરા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:15 pm

વાપીમાં 50 વર્ષ જૂની પાર્કિંગ સમસ્યાનો અંત:નાણામંત્રીની ખાતરી, ટૂંક સમયમાં 'ટ્રાન્સપોર્ટ નગર' બનશે

વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં કાર્યરત હજારો ટ્રાન્સપોર્ટરોની લાંબા સમયથી ચાલી આવતી પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનો ટૂંક સમયમાં કાયમી નિકાલ આવશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં અદ્યતન 'ટ્રાન્સપોર્ટ નગર'ના નિર્માણની ખાતરી આપી છે. તાજેતરમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલ અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ટ્રાન્સપોર્ટરોની પડતર માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રીએ ટ્રાન્સપોર્ટરોને આશ્વાસન આપ્યું કે વાપીમાં આધુનિક 'ટ્રાન્સપોર્ટ નગર' અને પાર્કિંગની વ્યવસ્થા માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, વાપી એક ઔદ્યોગિક હબ હોવાથી અહીં સમગ્ર દેશમાંથી ટ્રકો આવે છે. યોગ્ય પાર્કિંગ ન હોવાને કારણે ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોને ભારે મુશ્કેલી પડતી હતી, સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી. આ સમસ્યા છેલ્લા 50 વર્ષથી ટ્રાન્સપોર્ટરોને સતાવી રહી હતી. સરકાર દ્વારા બે ફોરલેન રસ્તા અને બ્રિજની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. રસ્તા પર થતા આડેધડ પાર્કિંગથી મુક્તિ મળવાને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે.આ નિર્ણયથી વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ફાયદો થશે. આ આયોજન આગામી 50 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:14 pm

અમરેલીના ખાંભા ગીરમાં કમોસમી વરસાદી ઝાપટાં:વાંકિયા, ધજડી સહિતના ગામોમાં વરસાદ, ખેડૂતો ચિંતિત

અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ખાંભા ગીર પંથકના જીક્યાળી, ધજડી અને વાંકિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં નોંધાયા હતા. આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ભર ઉનાળામાં પડેલા આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને કેરી, તલ અને બાજરી જેવા ઉનાળુ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ ભારે પવન સાથે વરસાદ આવતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેના કારણે ગુજરાતના અનેક ખેડૂતોના ખેતરોમાં વિવિધ પાકોને ભારે નુકસાન થયું હતું. ફરીથી કમોસમી વરસાદી ઝાપટાં આવતા ખેડૂતોમાં ચિંતા વધુ ઘેરી બની છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:10 pm

નવસારીમાં ₹44.65 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:સી.આર. પાટીલે કાઠીયાવાડી ઓવરબ્રિજ સહિતના પ્રોજેક્ટ ખુલ્લા મૂક્યા

ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે નવસારીમાં વિકાસ કાર્યો તેજ બન્યા છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા મહત્વના કાઠીયાવાડી ઓવરબ્રિજ સહિત કુલ ₹44.65 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાછીયાવાડી ખાતે નિર્મિત આ નવો માઇનોર બ્રિજ ₹2.84 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ ન હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર સાથે જોડાવામાં, ખાસ કરીને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ બ્રિજના લોકાર્પણથી હવે સ્થાનિકોની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે. બ્રિજના લોકાર્પણ બાદ નવસારી મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારના કુલ 89 રોડના વિકાસ કામો માટે ₹27.48 કરોડના ખાતમુહૂર્ત સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના વિવિધ વિભાગો માટે જરૂરી સાધન-સામગ્રી અને મશીનરીનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરાયેલી સુવિધાઓમાં ₹2.84 કરોડના ખર્ચે તૈયાર થયેલ કાઠીયાવાડી માઇનોર બ્રિજ, ₹0.60 કરોડના ખર્ચે બનેલ નવીન ગાર્ડન (પ્લોટ નં. 70) અને ઇટાળવા-કણાઇ ખાડી રોડ પર ₹0.50 કરોડના ખર્ચે નંખાયેલી સ્ટ્રીટ લાઇટનો સમાવેશ થાય છે. શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ બનાવવા માટે વોટર વર્ક્સ વિભાગ માટે ₹2.54 કરોડના ખર્ચે પમ્પ સેટ, પેનલ અને કેબલ તથા ₹1.78 કરોડના ખર્ચે 5 નંગ વોટર ટેન્કર વસાવવામાં આવ્યા છે. ફાયર શાખાની ક્ષમતામાં વધારો કરતા ₹2.40 કરોડનું વોટર કમ ફોમ ટેન્ડર, ₹1.68 કરોડનું મીની ફાયર ટેન્ડર અને ₹1.40 કરોડના ખર્ચે ઇમરજન્સી ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત, ડ્રેનેજ સફાઈ માટે ₹1.72 કરોડના ખર્ચે 2 નંગ જેટીંગ કમ ડી-સીલ્ટીંગ મશીન, ₹1.03 કરોડના ખર્ચે 2 નંગ જેસીબી (બેક-હો લોડર) અને ₹0.68 કરોડના ખર્ચે 2 નંગ બૂમ લીફ્ટર મશીનરી પણ સેવામાં મૂકવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:05 pm

હરભજનનો પિત્તો છટક્યો:ટ્રોલર સામે બાકાઝીકી બોલાવી; IPLના પૈસા સામે PSL લાચાર, મોહસીન નકવી શરમમાં મુકાયા

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:55 pm

રામચંદ્ર ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો:વેડ રોડ સ્થિત ગુરુકુળમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામનવમીના પવિત્ર પર્વે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 245 વર્ષ પૂર્વે થયું હતું પ્રભુનું અવતરણ કાર્યક્રમ દરમિયાન પ્રભુ સ્વામીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભગવાન પોતાનું ઐશ્વર્ય છુપાવીને મનુષ્ય રૂપે ભક્તોને સુખ આપવા પૃથ્વી પર પધારતા હોય છે. 245 વર્ષ પહેલાં રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપૈયા ગામે ધર્મદેવ પાંડે અને ભક્તિદેવીના ઘરે રાત્રે 10:10 કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણનું અવતરણ થયું હતું. ચૈત્ર સુદ નોમનો આ દિવસ બે મહાન અવતારોના પ્રાગટ્ય માટે સાક્ષી બન્યો છે. ઢોલ-નગારાના નાદ સાથે વધામણા ભગવાનના પ્રાગટ્યના વધામણા કરવા માટે ગુરુકુળના યુવાનો અને વિદ્યાર્થીઓએ વિશાળ ઢોલ-નગારા વગાડી વાતાવરણ ગુંજવી દીધું હતું. “પ્રભુ પધારો રે અમ આંગણિયે” કીર્તનના ગાન સાથે સંતો અને હજારો મહિલા-પુરુષ ભક્તોએ આર્તભાવે પ્રાર્થના કરી હતી. મહંત સ્વામી ધર્મવલ્લભદાસજીએ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરી ધાન્ય તેમજ પુષ્પથી અભિષેક કર્યો હતો. રાત્રે 10:10 મિનિટે ભગવાનની મહા નિરંજન આરતી ઉતારવામાં આવી હતી. ધર્મ ઘેર આનંદ ભયોનો નાદ સમગ્ર ગુરુકુળ ‘ધર્મ ઘેર આનંદ ભયો’ના બુલંદ નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં બપોરે 12:00 વાગ્યે શ્રી રામચંદ્ર ભગવાનની અને રાત્રે 10:10 વાગ્યે ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્ય આરતી ઉતારી પંચાજીરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:29 pm

63 એવોર્ડ્સ વિજેતા વિદ્યાર્થીનું ગાંધીનગરની હિલવુડ સ્કૂલ દ્વારા ટોર્ચરિંગ:રિઝલ્ટ-ટીસીમાં છેડા કર્યાના વાલીના આક્ષેપ; 8 વર્ષની બાળકી પણ કિન્નાખોરીનો ભોગ બની

રાજ્યના પાટનગરમાં સેકટર 25માં આવેલી હિલવુડ સ્કૂલ વિવાદમાં આવી છે. દેશનું ગૌરવ વધારનાર અને નાયબ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયેલા તેજસ્વી વિદ્યાર્થી તેમજ તેની 8 વર્ષની માસૂમ બહેનને શાળા સંચાલકો દ્વારા માનસિક રીતે હેરાન કરી ટોર્ચર કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે વાલીએ પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે. જાપાનની સ્પર્ધામાં ભારતમાંથી પસંદગી પામનાર એકમાત્ર ખેલાડીઃ પિતાઆ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા ચતુર્ભુજ રામાણીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, તેમનો ધોરણ 8માં અભ્યાસ કરતો પુત્ર પ્રતિભશાળી છે અને અત્યાર સુધી 63 જેટલા એવોર્ડ્સ જીતી ચૂક્યો છે. જાપાનની કાઓ કોર્પોરેશનની સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી પસંદગી પામનાર તે ગુજરાતનો એકમાત્ર ખેલાડી હતો. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ઝળકેલા આ બાળકની સફળતામાં સહભાગી થવાને બદલે સ્કૂલ પ્રશાસને તેની અવગણના કરી હોવાનો તેમનો આક્ષેપ છે. શિક્ષકો અને સંચાલકો માનસિક ટોર્ચર કરતા હોવાના આક્ષેપવાલીનો આક્ષેપ છે કે, સ્કૂલની મંજૂરી વગર સ્પર્ધામાં ભાગ લેવા બદલ અને ત્યારબાદ મળેલી ભવ્ય સફળતા બાદ સ્કૂલના અમુક શિક્ષકો અને સંચાલકો દ્વારા બાળક પર દ્વેષ રાખીને તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યો હતો. માત્ર માનસિક હેરાનગતિ જ નહીં, પરંતુ બાળકના ભવિષ્ય સાથે ચેડાં કરવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આર્ટ ટીચર દ્વારા બાળકીના ચિત્રો સાછે છેડછાડવાલીએ પોલીસ ફરિયાદની અરજી મુજબ, બાળકના શૈક્ષણિક રિઝલ્ટમાં અને ડ્રોઈંગ બુકમાં છેડછાડ કરવામાં આવી છે. વાલીનું કહેવું છે કે, ફરિયાદ કર્યા બાદ પરિણામમાં સુધારા વધારા કરીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ થયો છે. આ ઉપરાંત તેની ધોરણ 2માં ભણતી 8 વર્ષની નાની બહેનને પણ આ કિન્નાખોરીનો ભોગ બનાવવામાં આવી હોવાનું અરજીમાં જણાવાયું છે. આર્ટ ટીચર દ્વારા બાળકીના ચિત્રો પર છેડાછેડી કરી તેને માનસિક પીડા આપ્યાનો પિતાએ આક્ષેપ કર્યો છે. DEO દ્વારા ન્યાય ન મળતા પોલીસને ચરણેઆ સમગ્ર મામલે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પાસે ન્યાયની ગુહાર લગાવી હતી, પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં સ્કૂલના આર્ટ ટીચર, પરીક્ષા વિભાગના ટીચર, પ્રિન્સિપાલ અને અન્ય વહીવટદારો વિરુદ્ધ લેખિત અરજી આપવામાં આવી છે. વાલી ટ્રાન્સફર સર્ટિમાં એમના કહ્યા મુજબ લખવાનું કહી રહ્યા છેઃ પ્રિન્સિપાલઆ અંગે પ્રિન્સિપાલ સ્મિતા લૌરએ કહ્યું કે, અમારી સ્કૂલ તરફથી બાળકોને કોઈ જાતનું ટોર્ચરિંગ કરવામાં આવ્યું નથી. રિઝલ્ટ પણ સીબીએસસીના નિયમો મુજબ બનાવવામાં આવ્યું છે. વાલી ટ્રાન્સફર સર્ટિમાં એમના કહ્યા મુજબ લખવાનું કહી રહ્યા છે. અમે રિઝલ્ટ ચેન્જ કરીશું તો હાલ બાળકને 96 ટકાની આસપાસ છે, જે ઘટીને 91 ટકાની આસપાસ થઈ જશે. અમારી RO ઓફિસમાં પણ આ અંગે અમે જાણ કરી દીધી છે. વાલી રિઝલ્ટ લેવા આવ્યા નહીં તો અમે મેઇલથી મોકલી આપ્યું છે. હજી પણ અમે બધી મદદ કરવા તૈયાર છીએ. આ અંગે જિલ્લા શિક્ષાધિકારી ભગવાન પ્રજાપતિએ કહ્યું કે, વાલીની ફરિયાદ મળી છે. સોમવારે બંને પક્ષોને બોલાવી યોગ્ય કાર્યવાહી કરીશું. CM સહિતનાએ બાળકની નોંધ લઈ શુભેચ્છાઓ પાઠવી હતીનોંધનીય છે કે, જે બાળકની અવગણના કરવાનો આક્ષેપ સ્કૂલ પર છે, તે બાળકની સિદ્ધિની નોંધ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ લીધી હતી અને તેને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમ છતાં સ્કૂલ પ્રશાસન દ્વારા બાળકને પ્રોત્સાહન આપવાને બદલે તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપથી વાલીઓમાં રોષ છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા વાલીની માગહાલમાં પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વાલીની માગ છે કે, સ્કૂલ દ્વારા તેમના બાળકોના તમામ અસલ સર્ટિફિકેટ્સ અને રેકોર્ડ પરત કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય, જેથી અન્ય કોઈ બાળકના ભવિષ્ય સાથે આવા ચેડાં ન થાય.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:21 pm

SEBIના બોગસ સર્ટીફિકેટ બતાવી ઠગાઈ:ફાર્મા કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ યુવકે શેર બજારમાં રોકાણ કરી 20 ટકા રિટર્નની લાલચમાં 22 લાખ ગુમાવ્યા

અમદાવાદ શહેરના વેજલપુરમાં રહેતા 35 વર્ષીય યુવકને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરીને શેરબજારની ટીપ અને રોકાણ બાદ ઊંચા નફાની લાલચ આપી ઠગે 22 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ગઠિયાઓએ SEBIના બોગસ સર્ટીફિકેટ બતાવી વ્હોટ્સએપ ગ્રુપ અને ફેક ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરી લખો પડાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકના વ્હોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યોવેજલપુરમાં રહેતો 35 વર્ષીય યુવક ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. ફેબ્રુઆરીમાં યુવકના વ્હોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં F5 Indian Stock Market Investore Discussion Groupમાં એડ થવાની લિંક હતી. આ ગ્રુપમાં એડ થયા બાદ એડમિન દ્વારા શેરબજારમાં ટિપ્સ આપીને રોકાણ કરવાનું કહેવામાં આવતું હતું. ગ્રુપમાં એક બ્રોકરનો નંબર આપવામાં આવ્યો હતો, જેના પર યુવકે મેસેજ કરીને એપ્લિકેશન અને વેબસાઈટની લિંક મેળવી હતી. વિશ્વાસ જીતવા માટે ગઠિયાઓએ SEBI અને U.S. Securities and Exchange Commissionના સિક્કાવાળા નકલી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ પણ મોકલ્યા હતા. ટેક્સ ભરવાનું કહીને યુવક પાસે વધુ 30 લાખ માગતા છેતરપિંડીનો અહેસાસ થયોએપ્લિકેશનમાં લોગિન કર્યા બાદ યુવકેને શરૂઆતમાં 10થી 20 ટકા જેટલો પ્રોફિટ દેખાડવામાં આવતો હતો. જે બાદ યુવકે અલગ-અલગ બેંક ખાતાઓ દ્વારા કુલ 22 લાખનું રોકાણ કર્યું હતું. જે બાદ યુવકના ખાતામાં 2.49 કરોડનો નફો બતાવતો હતો અને તે રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ટેક્સ ભરવાનું કહીને વધુ 30,74,861 માગ્યા હતા. જેથી યુવકને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. યુવકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:10 pm

યુદ્ધની આગ હવે યુનિવર્સિટીઓ સુધી: ઈરાનની ધમકી- US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો, ગમે ત્યારે થશે હુમલો

(IMAGE - IANS) Iran accuses US Israel targeting universities: ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેહરાનની 'યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી' અને ઇસ્ફહાનની 'ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટૅક્નોલૉજી' પર થયેલા હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ વળતો પ્રહાર કરવાની સોગંદ ખાધી છે.

ગુજરાત સમાચાર 29 Mar 2026 4:07 pm

વેરાવળમાં 89 બાળકીઓને HPV રસી અપાઈ:આરોગ્યમ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેયોન દ્વારા રાહતદરે કેમ્પ

વેરાવળ ખાતે 29 માર્ચ 2026ના રોજ રાહત દરે HPV રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય જાગૃતિ અને મહિલા સુરક્ષાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં 89 બાળકીઓને HPV વેક્સિન આપવામાં આવી હતી. આ કાર્યક્રમ પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટિ હોલ ખાતે યોજાયો હતો. આ કેમ્પનું આયોજન આરોગ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ, વેરાવળ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેયોન અને જન સેવા ટ્રસ્ટ દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત આરોગ્યમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. જયેશ વઘાસિયાના સ્વાગત પ્રવચનથી થઈ. તેમણે સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. ઇન્ડિયન રેયોનના યુનિટ હેડ અને જન સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી શશાંક પરીકે યુવતીઓના આરોગ્ય માટે HPV રસીકરણના મહત્વ પર ભાર મૂક્યો. ડૉ. નિમિષાબેન માખણસાએ HPV વેક્સિનેશનના ફાયદા અને જરૂરી તકેદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. આદિત્ય બિરલા હોસ્પિટલના ડૉ. રાજુભાઈ ક્રિષ્નાની અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા 9 થી 26 વર્ષની કુલ 89 બાળકીઓને સફળતાપૂર્વક HPV વેક્સિન આપવામાં આવી. આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેયોન કંપનીના પ્રતિનિધિઓ, જન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ક્રિષ્ના ગનેરીવાલ, ગોવર્ધન ગુપ્તાજી, શ્રદ્ધાબેન મહેતા અને CSR ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્યમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી-સેક્રેટરી કલ્પેશભાઈ શાહ અને ટ્રસ્ટી ઉદયભાઈ શાહ સહિત સંસ્થાના સભ્યોએ પણ આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ભીડિયા વિસ્તારથી ચંદ્રિકાબેન સિકોતરીયાએ મોટી સંખ્યામાં બાળકીઓને રસીકરણ માટે પ્રોત્સાહિત કરી કેમ્પ સ્થળે લાવી હતી. ઉપરાંત, તાતીવેલા સરકારી શાળાના અધિકારીઓના પ્રોત્સાહનથી 15 બાળકીઓએ કેમ્પનો લાભ લીધો. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ ઉનડકટ દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું. આરોગ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓના આ પ્રયાસો યુવતીઓના સ્વાસ્થ્ય સુરક્ષા અને આરોગ્ય જાગૃતિ માટે એક પ્રેરણાદાયક પહેલ સાબિત થયા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:03 pm

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં હિંસા:રસ્તા પરથી પસાર થવાના વિવાદમાં ટોળાનો હુમલો ; બે યુવકો ગંભીર, ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા; પોલીસ તપાસ શરૂ

યાત્રાધામ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં ગઈકાલની સાંજ લોહીયાળ બની હતી. માત્ર પસાર થવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આક્ષેપ છે કે, ઉશ્કેરાયેલા શખ્સોના ટોળાએ અચાનક જ બે યુવકો પર છરી અને લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. ત્રણ યુવકો પર હુમલો, બે મિત્રો ગંભીર રીતે ઘાયલઆ હિંસક હુમલામાં કુલ ત્રણ યુવકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોની ચુંગાલમાંથી એક યુવક કોઈ રીતે જીવ બચાવી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ અન્ય બે કમનસીબ મિત્રો હુમલાખોરોનો શિકાર બન્યા હતા. તીક્ષ્ણ હથિયારોના પ્રહારને કારણે બંને યુવકો સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. તબિયત લથડતા ખંભાળિયા રિફરઘટના બાદ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્તોને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી અને તબિયત વધુ નાજુક જણાતા ફરજ પરના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી વધુ ગહન સારવાર માટે જામ ખંભાળિયાની હોસ્પિટલમાં રીફર કર્યા છે. પાંચથી છ શખ્સો સામે આક્ષેપ: પોલીસે ભોગ બનનારના નિવેદન નોંધ્યાઈજાગ્રસ્ત યુવકોના જણાવ્યા અનુસાર, ૫ થી ૬ લોકોના સશસ્ત્ર ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું હોય તેમ હુમલો કર્યો હતો. લોહીલુહાણ બનેલી આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હરકતમાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચીને પોલીસે ભોગ બનનાર યુવકોના નિવેદન નોંધી ગુનાહિત કાવતરાની કડીઓ મેળવવાની તજવીજ શરૂ કરી છે. હુમલાખોરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટહાલ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છે અને પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ફરાર હુમલાખોરોની ઓળખ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટે વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવવા અપીલ કરી કડક કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:03 pm

'આ મોંઘા શિક્ષણ, ટ્રાફિક અને દારુ-ડ્રગ્સથી હવે તો થાક્યા':સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વોર, જાહેર દિવાલો પર સૂત્રોચ્ચાર અને કમળ પર લાલ ચોકડી સાથેના પોસ્ટર

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. ખાસ કરીને સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે વહેલી સવારે સુરતના ડિંડોલી અને કતારગામ દરવાજા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ પોસ્ટરોમાં જનતાને સ્પર્શતા પાયાના મુદ્દાઓને હથિયાર બનાવી શાસક પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. સો.મીડિયામાં આ પોસ્ટર વાયરલ થતા તંત્રમાં દોડધામસુરતના જે વિસ્તારોમાં આ પોસ્ટરો લાગ્યા છે તેમાં ડિંડોલી અને કતારગામ મુખ્ય છે. આ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સર્કલ, બ્રિજના પીલર અને જાહેર દિવાલો પર રાતોરાત અજાણ્યા લોકો દ્વારા પોસ્ટરો ચોંટાડી દેવામાં આવ્યા છે. સવારે જ્યારે લોકો નોકરી-ધંધા માટે નીકળ્યા ત્યારે આ પોસ્ટરો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટરોના ફોટા અને વીડિયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ મોંઘવારીથી હવે તો થાક્યાઆ પોસ્ટરોમાં કોઈ એક વ્યક્તિ કે પક્ષનું નામ લેવાને બદલે સીધા જ પ્રતીકાત્મક હુમલા કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં મુખ્યત્વે પાંચ મુદ્દાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. સામાન્ય માણસના ખિસ્સા પર પડતા મારને વાચા આપતા લખાયું છે કે, આ મોંઘવારીથી હવે તો થાક્યા. ખાનગી શાળાઓની વધતી ફી અને મોંઘા શિક્ષણ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવામાં આવ્યો છે. ડ્રગ્સ, ટ્રાફિક અંગે પણ સૂત્રોચ્ચાર સાથેના પોસ્ટરસુરતની વિકટ સમસ્યા બની ગયેલા ટ્રાફિક જામને કારણે લોકોની હાલાકીનો ઉલ્લેખ છે. શહેરમાં ચર્ચાઈ રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. પોસ્ટરના અંતે લખવામાં આવ્યું છે કે, આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા, આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા. આ વાક્યો સીધી રીતે જનતાની વેદના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કમળ પર ક્રોસનું નિશાનઆ સમગ્ર વિવાદમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે, પોસ્ટરમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રતીક 'કમળ' પર લાલ રંગથી ક્રોસ (X) નું નિશાન મારવામાં આવ્યું છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે આગામી ચૂંટણીમાં ભાજપને નકારવાની અપીલ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ રાજકીય પક્ષ કે સંગઠને આ પોસ્ટરો લગાવવાની જવાબદારી સ્વીકારી નથી. કતારગામ અને ઉધના વિસ્તારની અંદર જોવા મળ્યા પોસ્ટરસ્થાનિક કલ્પેશ ટાંકે જણાવ્યું હતું કે, સુરત શહેરની અંદર, સવારે હું રીંગરોડ ગયો મારા કામથી, મારા કામથી ઉધના ગયો, મારા કામથી કતારગામ વિસ્તારની અંદર મેં ઘણી જગ્યાએ આ પોસ્ટર જોયા છે અને ઘણી જગ્યાએ આ પોસ્ટરની સાથે આ સુરતની જનતાની સચ્ચાઈ દેખાઈ રહી છે. ઘણા લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે, અત્યારે તમે હાલમાં જોઈ રહ્યા છો કે લોકો ગેસના બાટલાની લાઇનમાં ઉભા રહી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોની અંદર, આ 30 વર્ષના શાસનની અંદર ઘણા લોકો કોઈ ગેસની લાઈનમાં છે, કોઈ નોટબંધીની લાઈનમાં છે, કોઈ પેટ્રોલની લાઈનમાં છે એટલે આ દેશની જનતાને એક જાગૃત થવાની જરૂર છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 pm

ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાત ટીમને બે મેડલ:4x100 મીટર મેડલે રિલેમાં બ્રોન્ઝ, ફ્રી સ્ટાઇલમાં સિલ્વર જીત્યો

છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાતની સ્વિમિંગ ટીમે બે મેડલ જીત્યા છે. ટીમે 4x100 મીટર મેડલે રિલે સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો. આ કાંસ્ય પદક વિજેતા ટીમમાં મેડા દિશા (DLSS વડોદરા), પહુ રેણુકા (DLSS વડોદરા), હડુલા ટ્વિંકલ (DLSS હિંમતનગર) અને પ્રિયાંશી પટેલ (સુરત)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજરાતની ટીમે ફ્રી સ્ટાઇલ રિલે સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આમ, ટીમે કુલ બે મેડલ પ્રાપ્ત કર્યા છે. હિંમતનગરની DLSSની તરવૈયા ટ્વિંકલ હડુલાએ બંને મેડલ જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:59 pm

વડગામમાં 60 લોકો કોંગ્રેસમાં જોડાયા:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જન વિશ્વાસ સંમેલન યોજાયું

બનાસકાંઠાના વડગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા 'જન વિશ્વાસ સંમેલન' યોજાયું હતું. આ સંમેલનમાં વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના નેતા અમિત ચાવડાની હાજરીમાં આ સંમેલન યોજાયું હતું. ગોવિંદ ચૌધરી અને અન્ય 59 કાર્યકરોએ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ વડગામથી ફૂંકાયું છે. તેમણે દાવો કર્યો કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને તેની શરૂઆત વડગામથી થશે. ચાવડાએ સ્પષ્ટ કર્યું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ પોતાના બળ પર લડશે અને આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ કાર્યકરોના બળથી જન-જન સુધી પહોંચશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:56 pm

ભાવનગરથી નવી મુંબઈ માટે ઈન્ડિગોની બે નવી ફ્લાઈટ સેવા શરૂ:કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીએ ફ્લેગઓફ કરાવ્યું, દિવ્યાંગ બાળકોએ પ્રથમ સફરની મજા માણી; દરરોજ સવાર-સાંજ બે ફ્લાઈટ ઉડાન ભરશે

ભાવનગરવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને આજથી ભાવનગર-નવી મુંબઈ વચ્ચેની દૈનિક વિમાની સેવાનો ભવ્ય પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ઇન્ડિગો એરલાઇન્સની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા ભાવનગરના 30 જેટલા દિવ્યાંગ બાળકોએ પ્રથમ ફ્લાઇટમાં મુંબઈની સફરનો આનંદ માણ્યો હતો. ઈન્ડિગો દ્વારા દરરોજ સવાર-સાંજ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે, જેનાથી શહેરના હીરા ઉદ્યોગ, શિપ બ્રેકિંગ યાર્ડ અને વેપાર-રોજગારને નવી ગતિ મળશે. આ તકે કેન્દ્રીય મંત્રીએ ભાવનગર એરપોર્ટના રનવે વિસ્તરણ માટે રાજ્ય સરકાર પાસે 200 એકર જમીનની માંગણી કરી મોટા વિમાનો ઉતારવાની પણ તૈયારી દર્શાવી હતી. ભાવનગરના શ્રેષ્ઠીઓ દ્વારા ઉડ્ડયન મંત્રીનું ખાસ સન્માન કરવામાં આવ્યુંકેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી પ્રારંભ થયેલી પ્રથમ ફલાઇટમાં ભાવનગરના 30 જેટલા દિવ્યાંગ બાળકોને બોર્ડિંગ પાસ અર્પણ કરી ઝંડી ફરકાવી ઉપસ્થિત મહાનુભવો એ ફલાઇટને રવાના કરી હતી. ત્યારબાદ દીપ પ્રાગટય અને કેક કટિંગ સાથે આ આનંદના અવસરની ઉજવણી કરી હતી. ત્યારબાદ ભાવનગરના શ્રેષ્ઠીઓ દ્વારા ઉડ્ડયન મંત્રીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન તેમજ કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરવાસીઓ તરફથી મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે. જેમાં સવારે 8:35 કલાકે અને રાત્રે 8.50 વાગ્યે એમ બે ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. ભાવનગરથી મુંબઈ માટે દરરોજની કનેક્ટિવિટી શરૂઆ અંગે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુએ જણાવ્યું હતું કે, આજે ભાવનગરથી ઈન્ડિગોની બે નવી ફ્લાઇટ મુંબઈ માટે શરૂ થઈ છે, તો એના માટે ભાવનગરની તમામ જનતાને અભિનંદન પાઠવું છું. ખાસ કરીને કહેવા માગીશ કે અહીંના સાંસદ અને કેન્દ્રીયમંત્રી નિમુબેને આના માટે ઘણી મહેનત કરી હતી અને દિલ્હીમાં પણ આ માગને આગળ વધારવા માટે ઘણીવાર અમને મળ્યા હતા.​ તેમનો પણ ઘણો પ્રયાસ રહ્યો છે, જેના કારણે અમે પણ એરલાઇન્સ પર દબાણ લાવીને નવી કનેક્ટિવિટી શરૂ કરી છે. મારી ઈચ્છા હતી કે જ્યારે પણ અહીંથી ફ્લાઇટની શરૂઆત થાય ત્યારે વ્યક્તિગત રીતે અહીં આવું અને હું શરૂઆત કરાવું સાથે અહીંના એરપોર્ટની સુવિધાઓ પણ જોઉં. ઉડ્ડયન મંત્રીએ PMના વિઝનની પ્રશંસા કરીતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખૂબ સારું લાગ્યું, અહીં ખૂબ જ આનંદનું વાતાવરણ છે. આનાથી ખબર પડે કે આપણા દેશમાં નાગરિક ઉડ્ડયન માટે, હવાઈ મુસાફરી માટે કેવી રીતે માગ વધી છે. આનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે, જેઓ વિઝનરી છે, ડાયનેમિક છે અને દૂરંદેશી વિચાર સાથે કામ કરે છે. તેમનો 12 વર્ષ પહેલાનો જે પ્રયાસ હતો કે સામાન્ય માણસ માટે પણ હવાઈ મુસાફરી હોવી જોઈએ, 'હવાઈ ચપ્પલથી હવાઈ જહાજમાં મુસાફરી કરે' તે સપનું આપણે છેલ્લા 10 વર્ષમાં સાચું થતું જોયું છે, તેને વાસ્તવિકતામાં જોયું છે. આપણા એરપોર્ટની સંખ્યા 2014થી જોઈએ તો બમણી થઈ છે, એરક્રાફ્ટની સંખ્યા બમણી થઈ છે, મુસાફરોની સંખ્યા બમણી થઈ છે. ભાવનગરમાં પણ ઉડાન યોજના લાગુ કરવા ઉડ્ડયન મંત્રીએ તૈયારી દર્શાવી​આ 'ઉડાન' યોજના હેઠળ જે સફળતા મળી છે, તેને વધુ આગળ ધપાવતા 28,000 કરોડ સાથે કેન્દ્ર સરકાર વધુ એક યોજના હવે 'મોડિફાઈડ ઉડાન' હેઠળ આગામી 10 વર્ષ સુધી ચલાવશે. જેનાથી દેશમાં વધુ નવા એરપોર્ટ બનશે, વધુ નવા હેલીપોર્ટ બનવાની પણ અમે સંભાવના રાખીએ છીએ. ભાવનગરમાં પણ જે રીતે ઓપરેશન છે, ચોક્કસપણે અહીં પણ ઉડાન યોજના લાગુ થઈ શકે છે. તો આગળ જતાં જે અમારી અને સ્થાનિક માગ છે, નિમુબેનની અને જીતુભાઈની પણ માગ છે કે અહીંથી વધુ કનેક્ટિવિટી વધે. તો આ કનેક્ટિવિટી વધારવા માટે ઉડાન યોજના પણ અહીં લાગુ કરીશું. રનવેના વિસ્તરણ માટે 200 એકર જમીન મળશે તો સરકાર તેનું વિસ્તરણ કરશેવધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારો વિચાર છે કે અહીં ભાવનગરનું એરપોર્ટ છે, તેને આપણે વિસ્તૃત (Expand) કરીએ. અત્યારે રનવેની લંબાઈ 1900 મીટર છે, જો તમે ઈચ્છતા હોવ કે અહીં મોટા વિમાન પણ ઉતરે તો ઓછામાં ઓછો 2400 મીટરનો રનવે હોવો જોઈએ. તો જીતુભાઈને પણ અમે વિનંતી કરી છે કે જો રાજ્ય સરકાર તરફથી અમને તે જમીન મળી જાય, અંદાજે 200 એકર જમીન જોઈશે, જો તે મળી જાય તો ચોક્કસપણે તેના વિસ્તરણનું કામ ભારત સરકાર કરશે, જેનાથી અહીં મોટા વિમાન પણ ઉતરી શકશે. જેમ કે તમે જાણો છો કે ભાવનગર એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું છે, ડાયમંડનું હબ બન્યું છે, શિપ બ્રેકિંગનું હબ બન્યું છે અને અન્ય ઘણા સેક્ટર્સના હબ બનવાની પણ સંભાવના છે. તો ભવિષ્યમાં અહીં વધુ માગ વધશે, તો તે મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે અમારી તરફથી સંપૂર્ણ સહયોગ રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:53 pm

રાજકોટની રાષ્ટ્રીય શાળામાં 2 સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:બે આરોપીઓએ 3 મહિના સુધી કુકર્મ આચરી વીડિયો બનાવ્યો, એક આરોપી 'સ્ટોન કિલર કેસ'નો સાક્ષી

રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી અને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ સા્થે જોડાયેલી ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના સંકુલમાં કામ કરતા બે સગીરો સાથે બે શખસોએ સતત ત્રણ મહિના સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોલીસે કુકર્મ આચરનારા બે શખસોને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ કે, બંને આરોપીઓએ સગીરો સાથે આચરેલા કુકર્મના વીડિયો બનાવ્યા હતા. જે પણ પોલીસને હાથ લાગ્યા છે. બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એક આરોપી સ્ટોન કિલર કેસનો સાક્ષી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી સગીરોનું શારીરિક શોષણ કરાયું હોવાનો ઘટસ્ફોટપ્રાપ્ત વિગતો મુજબ, ભોગ બનનાર બંને સગીરો રાષ્ટ્રીય શાળાના પરિસરમાં મજૂરી કામ કરતા હતા. આ દરમિયાન તેઓ સંદીપ વિનોદભાઇ કણસાગરા ઉર્ફે લાલા પટેલ અને જયેશ પ્રાણભાઇ મજેઠિયા નામના શખ્સોના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ આ માસૂમ સગીરોને ખાવા-પીવાની લાલચ આપી હતી અને ત્યારબાદ પરિસરમાં આવેલી રૂમમાં લઈ જઈ અવારનવાર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 3 મહિના કરતા વધુ સમયથી સગીરોનું શારીરિક શોષણ કરી રહ્યા હતા. સગીરો સાથે આચરાયેલા કુકર્મનો વીડિયો બનાવ્યોઆરોપીઓ માત્ર શોષણ કરીને જ અટક્યા નહીં, પરંતુ તેઓ બંને સગીરોને ડરાવી-ધમકાવીને ચૂપ રાખતા હતા. સગીરોએ પોલીસ સમક્ષ કેફિયત આપી કે આરોપીઓ વારંવાર એવી ધમકી આપતા હતા કે, જો આ વાત કોઈને કહેશો તો જાનથી મારી નાખીશું. આ ડરના છાયામાં સગીરો લાંબા સમય સુધી આ નરક જેવી યાતના સહન કરતા હતા. આ દરમિયાન આરોપીઓએ પોતાના કુકર્મનો વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે પોલીસના હાથમાં આવ્યો છે. આ વીડિયો આ કેસમાં સૌથી મહત્વનો ટેકનિકલ પુરાવો સાબિત થશે. જયેશ મેજેઠિયા વર્ષ 2016માં નોંધાયેલા 'સ્ટોન કિલર' કેસનો મુખ્ય સાક્ષીપોલીસે આ ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ સંદીપ કણસાગરા અને જયેશ મજેઠિયાને ઝડપી પાડ્યા છે. આ કેસમાં એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે આરોપી જયેશ મજેઠિયા વર્ષ 2016માં રાજકોટમાં થયેલા ચકચારી 'સ્ટોન કિલર' કેસનો મુખ્ય સાક્ષી હતો. તે સમયે સ્ટોન કિલરના હુમલામાં જયેશ બચી ગયો હતો અને તેની જુબાનીથી પોલીસને સ્ટોન કિલર સુધી પહોંચવામાં મદદ મળી હતી. જે વ્યક્તિ એક સમયે ગુનાનો ભોગ બનતા બચી હતી, તે આજે પોતે સગીરો સાથે આટલા જઘન્ય ગુનામાં સંડોવાયેલી હોવાનું બહાર આવતા સૌ કોઈ સ્તબ્ધ છે. સમગ્ર મામલે એસીપી બી. વી. જાધવે જણાવ્યું હતું કે, રાજકોટમાં બે સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સગીરોનું છેલ્લા ત્રણ મહિનાથી શોષણ કરાતું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સંદીપ કણસાગરા અને જયેશ મજેઠીયાની ધરપકડ કરી છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમ 351, 54-2 અને પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શ્રય કરી છે. પોલીસ દ્વારા બંને સગીરોનો મેડિકલ ટેસ્ટ અને ઓસિફિકેશન ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, જેમાં તેમની ઉંમર 14 થી 17 વર્ષની હોવાનું પુષ્ટિ થઈ છે. આથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીજીની વિચારધારા અને પવિત્રતા સાથે જોડાયેલી રાષ્ટ્રીય શાળા કે જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, ત્યાં જ આવું પાશવી કૃત્ય આચરવામાં આવતા સંસ્થાની સુરક્ષા અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ એ-ડિવિઝન પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ સમાચાર પણ વાંચોઃ હું ડિવોર્સી છું, મારો કોન્ટેક્ટ કરી દોઢ વર્ષ સંબંધ બાંધ્યા રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકા વર્ષ 2012માં ધો.10ના જે વિદ્યાર્થીને ભણાવી રહી હતી, તે વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ તે જ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવક શિક્ષિકાને ચારધામ યાત્રા અને થાઈલેન્ડ પણ ફરવા લઈ ગયો હતો. આ ઉપરાંત યુવકે રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા શિક્ષિકા પાસેથી લીધા હતા. જોકે, બાદમાં યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધાનો ભાંડો ફૂટતા શિક્ષિકાએ લગ્ન કરવા કહ્યું હતું. પરંતુ યુવકે રૂપિયા પાછા આપવા અને લગ્નની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:44 pm

પોરબંદરમાં SOGનો દરોડો:હાઈબ્રિડ ગાંજા સાથે ત્રણ આરોપી ઝડપાયા

પોરબંદર શહેરમાં નશીલા પદાર્થો વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે મોટી સફળતા મેળવી છે. રેલવે સ્ટેશન રોડ પર આવેલા પુષ્પક ટાવર સામેથી દરોડો પાડી હાઈબ્રીડ ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG પી.આઈ. વાય.જી. માથુકીયા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન કલ્પ મનીષભાઈ હોદ્દાર, મન મનીષભાઈ હોદ્દાર અને દેવ ભરતભાઈ મોતીવરસ નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી કુલ 11 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 33,000 છે. પોલીસે રૂ. 1,90,000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા, આમ કુલ રૂ. 2,23,000નો મુદ્દામાલ જપ્ત થયો છે. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ, 1985 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે નશીલા પદાર્થોના વેચાણ અને સેવન સામે કડક પગલાં લેવાની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:32 pm

યંગ જાયન્ટ્સ બોટાદે રખડતી ગાયોને ઘાસચારો આપ્યો:ઉનાળાની ગરમીમાં 800 કિલો લીલો ઘાસચારો વિતરણ કરાયો

યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા રવિવારે રખડતી ગાયોને 800 કિલો (40 મણ) લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવોને રાહત આપવાના હેતુથી આ જીવદયા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ સેવાકાર્ય આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સાથે સંલગ્ન યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા કરાયું હતું. સંસ્થા માનવ સેવા, જીવદયા, પર્યાવરણ, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક અનેક પ્રવૃત્તિઓ નિયમિતપણે કરે છે. આ ગૌ-સેવા યજ્ઞમાં યંગ જાયન્ટ્સના પ્રમુખ અમન દોશી, ઉપપ્રમુખ બ્રીજ દાણી, સેક્રેટરી અક્ષત રાણપુરા, મનીષ મકવાણા અને વિશાલ વસાણી સહિતના સભ્યો જોડાયા હતા. તેમણે સક્રિયપણે ઘાસચારાનું વિતરણ કર્યું હતું.જાયન્ટ્સ ફેડરેશનના પદાધિકારીઓ ગ્રીન મેન સી.એલ. ભીકડીયા અને નિલેશભાઈ કોઠારીએ આ ઉમદા પ્રવૃત્તિને બિરદાવી હતી. તેમણે યુવાનોના જીવદયાના સેવા યજ્ઞની સરાહના કરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:27 pm

મણિનગર રેલવે સ્ટેશન પર છુટ્ટા હાથની મારામારી, CCTV:ઈડલીની લારી પર નાસ્તો કરીને અજાણ્યા શખસોની લારીચાલક સાથે દાદાગીરી, નાસ્તાના પૈસા માગતા ઢોરમાર માર્યો

અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન પાસે રાત્રે ૩ વાગ્યાની આસપાસ એક ઈડલીની લારી પર નાસ્તો કર્યા પછી પૈસા માગતા લારીચાલક સાથે અજાણ્યા શખ્સોની દાદાગીરી થતાં વિવાદ વકર્યો હતો. આ વિવાદ ઝડપથી છુટ્ટા હાથની મારામારીમાં ફેરવાઈ ગયો, જેમાં લારીચાલક અભયસિંહ પરમાર અને તેને બચાવવા આવેલા યુવક દ્રષ્ટાંત મોદીને ગડદા-પાટુ, પાઇપ અને ઢોરમાર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને પોલીસે મારામારીમાં વપરાયેલી રિક્ષા કબજે કરી લીધી છે, જ્યારે આરોપીઓ હજુ ફરાર છે. મણિનગર પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે. અજાણ્યા શખસોએ નાસ્તો કરી પૈસા ન ચૂકવીને દાદાગીરી કરીશહેરના ખોખરા વિસ્તારમાં દ્રષ્ટાંત મોદી નામનો યુવક પરિવાર સાથે રહે છે. મણિનગર રેલ્વે સ્ટેશનની સામે એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક તેના મિત્ર અભયસિંહ પરમારની ઈડલીની લારી આવેલી છે ત્યાં રાત્રે 3:00 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. બે અજાણ્યા શખસો તેની લારી ઉપર નાસ્તો કરી અને ઉભા થતાં અભયસિંહે પૈસા માંગ્યા હતા. જેથી, પૈસા આપવાની બંનેએ ના પાડી હતી અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા. તેઓને ગાળો બોલવાની ના પાડતા તેમાંથી એક શખ્સે ફોન કર્યો હતો. બે શખ્સો આવ્યા હતા અને લારી ઉપર કારીગરને માર મારવા લાગ્યા હતા. લારીધારકને બચાવવા પડેલા યુવકને પણ ઢોરમાર માર્યોબીજા અજાણ્યા શખસો આવ્યા હતા અને અભયસિંહને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. રિક્ષા લઈને આવેલા શખ્સોએ મારામારી કરી હતી. લોકોના ટોળા રોડ ઉપર એકત્રિત થઈ ગયા હતા. અભયસિંહને બચાવવા માટે વચ્ચે પડેલા દ્રષ્ટાંતને પણ પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. બંને ઇજાગ્રસ્ત મિત્રોને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મણિનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. અજાણ્યા શખસો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે અને રિક્ષા આવી હતી તે પણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા શરૂ કરી છે. 'આજ સાંજ સુધીમાં આરોપીને અમે ઝડપી પાડીશું'મણીનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.જે. રાઠોડે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી હજી સુધી અમે પકડ્યા નથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આજ સાંજ સુધીમાં મોટાભાગે આરોપી અમે ઝડપી પાડીશું. ગુનામાં વપરાયેલી રીક્ષા અમે કબજે કરી લીધી છે. ઈજાગ્રસ્તોને વધારે કોઈ ઈજા થઈ નથી. સામાન્ય ઈજા થઈ છે જે આરોપીઓ છે તે તારે આરોપીઓને અમે પકડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:26 pm

વેરાવળમાં પ્રોહિબિશન ગુનાનો ફરાર આરોપી ઝડપાયો:ગીર સોમનાથ LCB પોલીસે સઘન ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરી

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, વેરાવળ શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો છે. જુનાગઢ રેન્જના ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. ખાસ કરીને પ્રોહિબિશન ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સૂચનાઓના આધારે, એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂતના નેતૃત્વમાં તથા પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને એચ.એલ. જેબલિયાની રાહબરી હેઠળ ટીમે માનવ સૂત્રો અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ વાળા, કોન્સ્ટેબલ કરણસિંહ ચૌહાણ અને પિયુષભાઈ બારડની સક્રિય કામગીરીથી મહત્વપૂર્ણ માહિતી મળી હતી, જેના આધારે કાર્યવાહી સફળ બની. પોલીસે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 956/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમો 65(એ)(ઇ), 116(બી), 81, 83, 98(2) તથા ભારતીય ન્યાય સંહિતા કલમ 111(3) અને 111(4) મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી હમીર બચુભાઈ ચારીયા કોળી (ઉંમર 39, રહે. હુડકો સોસાયટી, વેરાવળ, મૂળ વતન ડાભોર)ને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્રએ જણાવ્યું કે જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આવા અભિયાન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:19 pm

‘અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે’:રાજકોટથી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હસ્તે 57 એરપોર્ટની સુવિધાઓનું લોકાર્પણ; યાત્રીઓને રૂ.10માં ચા, 20માં સમોસા મળી રહેશે

આજે 29 માર્ચના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક સાથે દેશના 57 એરપોર્ટ પર અલગ-અલગ સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે રાજકોટનાં ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે ભાવનગર ખાતે ઈન્ડિગોની નવી મુંબઈની ફલાઈટને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. ઉડાન યાત્રી કાફે ખુલવાથી હવે એરપોર્ટ પર મુસાફરોને રૂ.10માં ચા અને રૂ.20માં કોફી મળી રહેશે. આ દરમિયાન રામમોહન નાયડુએ મહત્વના મુદ્દાઓને લઈ કહ્યું કે, રાજકોટમાં વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, એર કાર્ગો ટર્મિનલ શરૂ થશે. દેશમાં 100 નવા એરપોર્ટ, 200 હેલિપેડ બનશે. યુદ્ધ વચ્ચે ગલ્ફ દેશોમાંથી 5 લાખ લોકોને ભારત પરત લાવ્યા છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે. ‘57 એરપોર્ટ પર વિવિધ સુવિધાઓનું લોકાર્પણ’કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના 57 એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં 11 એરપોર્ટ પર ઉડાન કાફે, 8 જગ્યાએ DG યાત્રા, 50 જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, 11 અવસર આઉટલેટ, 10 કિડઝ પ્લે ઝોન, 16 ફ્લાયબ્રેરિઝ અને 8 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે. ‘10 વર્ષમાં નવા 100 એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવાશે’ વધુમાં ઉમેર્યું કે, રાજકોટમાં શરૂ થયેલા ઉડાન કાફેથી રૂ.10માં ચા, રૂ.20માં કોફી અને સમોસા મળશે. કેન્દ્ર સરકાર દ્વારા એવિએશન વિભાગ માટે રૂ.29000 કરોડની મંજૂરી મળી ચૂકી છે. આગામી 10 વર્ષમાં 100 નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે અને 200 હેલિપેડ બનાવવામાં આવશે, જે નોર્થ ઈસ્ટમાં બનશે. ‘યુદ્ધની સ્થિતિ વચ્ચે 5 લાખ લોકોને ભારત પરત લવાયા’આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગલ્ફ યુદ્ધને લીધે સિવિલ એવિએશનને અસર પહોંચી છે. ભારતમાં ઘણા લોકો ગલ્ફ દેશમાં રહે છે અથવા ત્યાંથી કનેક્ટેડ દેશમાં રહે છે. એર સ્પેસ બંધ થઈ તેની અસર જોવા મળી હતી. અમે અન્ય દેશમાંથી હવાઈ રૂટ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોને ઓપરેશન મારફત ગલ્ફ દેશોમાંથી ભારત પરત લાવ્યા છીએ. ‘અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે’જ્યારે અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશને લઈ મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. વિમાન દુર્ઘટનાને લીધે 9 મહિના જેવો સમય થઈ ગયો છે. સમગ્ર દુર્ઘટનામાં યોગ્ય રીતે તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં દુર્ઘટનાનો રિપોર્ટ આવશે. ‘જુના ટર્મિનલ ઉપર કાર્ગો ટર્મિનલનું નિર્માણ કરાશે’આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થાય તે માટેની લાંબા સમયથી ડિમાન્ડ છે. ઈમિગ્રેશનની પ્રક્રિયામાં ધ્યાન આપીને વહેલી તકે અહીં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તે માટેના પ્રયાસો છે. આ સાથે જ અહીં જુના ટર્મિનલ ઉપર કાર્ગો ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા માટે ડિમાન્ડ મુકી હતી. જ્યારે લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ કાર્ગો સર્વિસની ડિમાન્ડ મૂકી હતી. સાંસદ સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યાંઆ કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ વાંકાનેરના ધારાસભ્ય જિતેન્દ્ર સોમાણી ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ કેન્દ્રીય મંત્રી એરપોર્ટ ટર્મિનલની મુલાકાત કરી સમીક્ષા કરશે. કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ સાથે સિવિલ એવિએશનના સેક્રેટરી સમીરકુમાર સિન્હા અને એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન વિપિનકુમાર પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. ઉડાન યાત્રી કેફે મેનૂચા રૂ.10પાણીની બોટલ રૂ.10કોફી રૂ.20સ્વીટ ઓફ ધ ડે (1 નંગ) રૂ.20સમોસા (1 નંગ) રૂ.20

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:16 pm

હિંમતનગર તાલુકા ભાજપે 'મન કી બાત' કાર્યક્રમ યોજ્યો:કેનાલ ફ્રન્ટ પર ટિફિન બેઠક સાથે ચૂંટણીલક્ષી ચર્ચા

હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ ખાતે હિંમતનગર તાલુકા ભાજપ દ્વારા 'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવા હાકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મોરચાના હોદ્દેદારોને ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રવિવારના 'મન કી બાત' કાર્યક્રમનું પ્રસારણ ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકા ભાજપના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ નિહાળ્યું હતું. ત્યારબાદ ટિફિન બેઠક યોજાઈ હતી, જેમાં સૌ કાર્યકર્તાઓએ સાથે ભોજન લીધું અને ચૂંટણીલક્ષી ચર્ચા-વિચારણા કરી સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભૂમિકાબેન પટેલ અને વિનોદભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ હસમુખભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા મંત્રી ગણપતભાઈ બારોટ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ અને ભગીરથસિંહ ઝાલા, મહિલા મોરચા ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, સિનિયર કાર્યકર્તાઓ ભગવાનદાસભાઈ ચૌધરી અને વિજયભાઈ વણઝારા સહિત મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, હોદ્દેદારો, મંડલ ટીમ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, બુથ પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:09 pm

વૃદ્ધની હત્યા બાદ આરોપીને તરત જ કર્મનું ફળ મળ્યું:હિંમતનગરમાં રાત્રે 70 વર્ષના વૃદ્ધને ધારિયું મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીનો સવારે મૃતદેહ મળી આવ્યો

કહેવાય છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને કર્મનું ફળ વહેલા મોડા મળે જ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એક આરોપીને કર્મનું ફળ તરત જ મળ્યું છે. હિંમતનગરમાં રાત્રે 70 વર્ષના વૃદ્ધને ધારિયું મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીનો સવારે મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે જૂના ઝઘડાની અદાવતમાં એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ હત્યાના આરોપીનો મૃતદેહ ગામડી ગામ નજીકથી મળી આવ્યો હતો. 70 વર્ષીય વૃદ્ધની ધારિયું મારી હત્યા કરી પ્રાપ્ત માહિતી અનુસાર, આગીયોલ ગામના રાવળવાસમાં રહેતા 70 વર્ષીય મોહનભાઈ વિહાભાઈ રાવળની શનિવારે રાત્રે આશરે 11 થી 11:15 વાગ્યાની વચ્ચે તેમના ઘર નજીક રહેતા 42 વર્ષીય કાનાજી ભીખાભાઈ મકવાણા (ઠાકોર) દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકના પુત્ર ભરતભાઈ મોહનભાઈ રાવળની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંભોઈ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. વૃદ્ધની હત્યાનું કારણપ્રાથમિક માહિતી મૂજબ આગીયોલ ગામના રાવળવાસમાં રહેતા મૃતક મોહનભાઈ વિહાભાઈ રાવળને તેમના ઘરની સામે રહેતા આરોપી કાનાજી મકવાણા સાથે અવારનવાર ઝઘડા થતાં હતા. આ ઝઘડાનું મુખ્ય કારણ કાનાજી મકવાણાની દારૂ પીવાની ટેવ હતી. આરોપી કાનાજી મકવાણા પોતાના ઘરે જ દારૂ બનાવીને પીતો હતો. ગામડી ગામેથી આરોપીનો મૃતદેહ મળી આવ્યોદરમિયાન, રવિવારે સવારે હત્યા કરીને ફરાર થયેલા આરોપી કાનાજી ભીખાભાઈ મકવાણાનો મૃતદેહ ગામડી ગામ નજીક રોડ સાઈડ પરથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં ગાંભોઈ પોલીસ ફરીથી ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ગાંભોઈ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. આરોપીનું મૃત્યુ કુદરતી : ગાંભોઈ PIઆ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હત્યા કરનારનો મૃતદેહ ગામડી નજીક રોડ સાઈડથી આજે સવારે મળ્યો છે, જેને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુ કુદરતી લાગી રહ્યું છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:08 pm

ફ્રોડ એકાઉન્ટન્ટ ઝડપાયો:વડોદરામાં ફેક્ટરીમાં 14 કરોડની ઉચાપત કરી ફરાર થયેલો એકાઉન્ટન્ટની અરવલ્લીથી ધરપકડ, સત્તાનો દુરુપયોગ કરી ખોટી પાર્ટીઓના નામે ખરીદી બતાવી રેકોર્ડમાં છેડછાડ કરી હતી

વડોદરા શહેરની એક ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતી વખતે અંદાજે 14.09 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરી ફરાર થઈ ગયેલા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અરવલ્લી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શું હતો સમગ્ર મામલો? આરોપી રાકેશ પ્રભાતસિંહ પરમાર ( ઉંમર 40 વર્ષ, રહે. માધવ રેસિડેન્સી, આજવા રોડ, વડોદરા) આજવા રોડ પર આવેલી સરદાર એસ્ટેટની એક ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેણે વર્ષ 2022થી 2026 દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને ખોટી પાર્ટીઓના નામે ખરીદી બતાવી ફેક્ટરીના રેકોર્ડમાં છેડછાડ કરી હતી અને 14,09,48,230 જેટલી રકમ પોતાના અંગત એચ.ડી.એફ.સી. અને બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરીને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ગત 16 માર્ચ 2026ના રોજ બાપોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી, જેથી આરોપી ધરપકડ ટાળવા માટે વડોદરા શહેર છોડીને ફરાર થઈ ગયો હતો. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચોપડા ગામે છુપાયો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં વોચ ગોઠવી આરોપી રાકેશ પરમારને દબોચી લીધો હતો. હાલ આરોપીનો કબજો મેળવીને આગળની તપાસ માટે તેને બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 3:00 pm

‘ગુંડારાજ’નો સફાયો થશે:કુખ્યાત ‘ઇભલા ગેંગ’ પર ગુજસીટોકનું શસ્ત્ર ઉગામતી પોલીસ, છ આરોપીઓ સકંજામાં; હજુ ત્રણ ગેંગ સામે કાર્યવાહીનાં નિર્દેશ

ગુજરાત સરકાર દ્વારા સંગઠિત ગુનાખોરીને ડામવા માટે અમલમાં મુકાયેલા કડક કાયદા ‘ગુજસીટોક’ (GCTOC) હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી અને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી કુખ્યાત ‘ઇભલા ગેંગ’ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગેંગના સૂત્રધાર સહિતનાં બે હાલ જેલમાં છે. જ્યારે અન્ય ચાર સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. તેમજ રાજકોટમાંથી ‘ગુંડારાજ’નો સફાયો કરવા માટે આગામી દિવસોમાં વધુ 3 ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનાં નિર્દેશ પોલીસે આપ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરના ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોણ છે ઇભલા ગેંગ અને શું છે ગુનાહિત ઈતિહાસ?રાજકોટના બી-ડિવિઝન વિસ્તારમાં સક્રિય એવી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો છે. આ ગેંગના સાગરીતો પોતાની ધાક જમાવવા માટે લાંબા સમયથી ગંભીર ગુનાઓ આચરતા હતા. પોલીસ રેકોર્ડ મુજબ, આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 89 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગના સભ્યો દ્વારા આચરવામાં આવેલા મુખ્ય ગુનાઓમાં હત્યાની કોશિશ 4 ગુના, લૂંટ અને અપહરણનાં 5 ગુના, રાયોટિંગ (ગે.કા. મંડળી)નાં 11 ગુના, છેડતીનો 1 ગુનો, મારામારીનાં 29 ગુના ઉપરાંત અન્ય એટ્રોસીટી એક્ટ, પ્રોહિબિશન (દારૂ), જુગાર અને આર્મ્સ એક્ટ (ગેરકાયદે હથિયાર) હેઠળના પણ અનેક ગુનાઓ આ ગેંગના નામે નોંધાયેલા છે. પોલીસની કડક કાર્યવાહી અને ધરપકડક્રાઈમ બ્રાંચે ગેંગના કુલ 7 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કાથરોટિયા અને જાવેદ ઉર્ફે જાવલો કાથરોટિયા હાલમાં જેલમાં છે, જેનો કબજો મેળવવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. જ્યારે અન્ય 4 મુખ્ય સાગરીતોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં સલીમ ઉર્ફે સલીયો કાથરોટિયા, મહેબૂબ ઉર્ફે મેબલો કાથરોટિયા, અશરફ કાથરોટીયા અને લખન કમેજડિયાનો સમાવેશ થાય છે. જેવો વ્યવહાર જનતા સાથે કર્યો હતો એવો જ પોલીસ આરોપીઓ સાથે કરશે: DCPક્રાઈમ બ્રાંચના DCP જગદીશ બાંગરવાએ આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે પ્રકારનું કઠોર અને અમાનવીય વર્તન કરતા હતા, પોલીસ પણ હવે આ ગુનેગારો સાથે તેવો જ કડક વ્યવહાર કરવા માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાંથી ગુંડાતત્વોનો સફાયો કરવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આગામી થોડા જ દિવસોમાં અન્ય 3 જેટલી સક્રિય ગેંગ વિરુદ્ધ પણ ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ ગુનેગારો ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, કાયદો તેમનાથી ઉપર રહેશે. ગુજસીટોક કાયદાનો ઉદ્દેશ્યગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015 (GCTOC) નો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠિત ગુનાખોરી આચરતી ટોળીઓને નિયંત્રણમાં લેવાનો છે. જ્યારે કોઈ ગેંગ સતત ગુના આચરીને સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરે છે, ત્યારે આ કાયદા હેઠળ તેમની સામે કડક કાનૂની જોગવાઈઓ સાથે કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં જામીન મળવા પણ મુશ્કેલ બને છે. જોકે હાલ રાજકોટ પોલીસની કડક કામગીરીથી રાજકોટનાં શહેરીજનોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. ખાસ કરીને જે વિસ્તારોમાં આ ગેંગનો આતંક હતો, ત્યાં હવે શાંતિ સ્થપાય તેવી આશા જાગી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 2:59 pm

દ્વારકામાં રૂકમિણી વિવાહ ઉત્સવ શરૂ:રૂકમિણી મંદિરે દૈદિપ્યમાન શૃંગાર સાથે વિશેષ છપ્પનભોગ મનોરથ, ભવ્ય વરઘોડો યોજાયો

દ્વારકામાં શ્રી દ્વારકાધીશ ભગવાન અને રાજરાજેશ્વરી રૂકમિણી માતાજીના પાવન રૂકમિણી વિવાહ ઉત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે રૂકમિણી માતાજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં માતાજીના દૈદિપ્યમાન શૃંગાર સાથે વિશેષ છપ્પનભોગ મનોરથ અને સાંજે ભવ્ય વરઘોડો યોજાયો હતો. છપ્પનભોગ મનોરથ સવારે ૧૧:૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી યોજાયો હતો. આ આયોજન અરુણભાઈ દવે અને કંદર્પભાઈ દવે પરિવારના સૌજન્યથી કરાયું હતું. મંદિરમાં માતાજીને અલભ્ય શૃંગાર સાથે વિવિધ પ્રસાદી ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે ૭:૦૦ વાગ્યે રાજરાજેશ્વરી રૂકમિણી માતાજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડો શ્રી દ્વારકાધીશના જગત મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફર્યો હતો અને ભદ્રકાલી ચોક ખાતે સમાપ્ત થયો હતો. માર્ગમાં ભક્તોએ ઉમળકાભેર સ્વાગત કરી પૂજા-અર્ચના કરી હતી. ઉત્સવની શ્રેણી હેઠળ આજે સવારે શ્રી દ્વારકાધીશ જગત મંદિર અને રાજરાજેશ્વરી રૂકમિણી માતાજી મંદિરે પરંપરાગત ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી. ત્યારબાદ સાંજે રૂકમિણી મંદિરના પટાંગણમાં ભવ્ય રૂકમિણી વિવાહ મહોત્સવનું આયોજન કરાશે. આ મહોત્સવમાં દ્વારકા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી અપેક્ષા છે. આ સમગ્ર કાર્યક્રમને લઈને દ્વારકા શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે. મંદિર સંસ્થાઓ દ્વારા ભક્તોની સુવિધા અને વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 2:58 pm

આજે 11 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી:ભરઉનાળે માવઠાની શક્યતાના પગલે ખેડૂતોની ચિંતા વધી, 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

ઉનાળામાં આકરી ગરમીની શરૂઆત થયા બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માવઠાની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ભરઉનાળે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. માર્ચના પ્રારંભ આકરી ગરમી પડ્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યોમાર્ચ મહિનાની શરૂઆતમાં જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. મોટા ભાગના શહેરમાં તાપમાન 41 ડીગ્રીએ પહોંચ્યું ગયું હતું. જો કે તે બાદ અચાનક જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અસહ્ય ગરમીની શરૂઆત વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસ સુધી અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ અને તેજ પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના પાકને પણ નુકશાન ગયું હતું. જો કે તે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા ફરી ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. જો કે ફરી એક વખત રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ હવે ફરી એક વખત ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર હવામાન પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓ માટે આગાહી જાહેર કરી છે. આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહીઆજે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 30 તારીખે રાજ્યના કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ 2 અને 3 તારીખે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેનાથી ગરમીમાં રાહત મળશે. આગામી ત્રણ ચાર દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશેતાપમાનની વાત કરીએ તો આગામી ચાર દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને તાપમાન આશરે 37 ડિગ્રી સુધી રહેશે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ગરમીથી ત્રસ્ત લોકોને આગામી દિવસોમાં રાહત મળવાની આશા છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી. જો કે તાપમાનમાં કરી એક વખત ઘટાડો નોંધાશે. નોર્થ ઇસ્ટ રાજસ્થાનથી ચક્રવતી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. જેની અસરના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. તેમજ 30 માર્ચના થન્ડર સ્ટ્રોમ અને વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. તે બાદ 2 અને 3 એપ્રિલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કમોસમી વરસાદ થશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 2:55 pm

PSI ભરતી પરીક્ષાના કોલલેટર 13 એપ્રિલે જાહેર થશે:ઉમેદવારો માટે મહત્વની સૂચના, 19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) કેડરની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરખબર ક્રમાંક GPRB/202526/1 મુજબ આવનારી લેખિત પરીક્ષા અંગે મહત્વની માહિતી જાહેર કરાઈ છે. ઉમેદવારો 13 એપ્રિલથી કોલલેટર ડાઉનલોડ કરી શકશેપો.સ.ઇ. કેડરની પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા તા. 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાનાર છે. પરીક્ષા માટેના કોલલેટર ઉમેદવારો 13 એપ્રિલ, 2026ના રોજ બપોરે 2.00 વાગ્યાથી સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ સમયસર પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી લે અને તેમાં દર્શાવેલ સૂચનાઓનું પાલન કરે. કોલલેટર વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા દિવસ પહેલા પોતાનું પરીક્ષા કેન્દ્ર, સમય અને જરૂરી દસ્તાવેજોની પુષ્ટિ કરી લેવા પણ સૂચના આપવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે બોર્ડ દ્વારા તમામ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર જ વિશ્વાસ રાખવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 2:54 pm

લખતરમાં રૂ. 7.13 લાખનો દારૂ-વાહન જપ્ત:LCBએ બોલેરો કેમ્પરના ચોર ખાનામાંથી દારૂ ઝડપી એકને પકડ્યો

સુરેન્દ્રનગર LCBએ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાસ્કરપરા ગામના પાટિયા પાસે હાઇવે રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બોલેરો કેમ્પર ગાડીના ચોર ખાનામાં છુપાવીને લઈ જવાતો રૂ. 2,03,500નો દારૂ, વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 7,13,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એક આરોપી વિલાલખાન અરબાબખાન રાહુમા (રહે. ભભુતેકી ઢાણી, ચોહટન, બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે. જ્યારે વિજયભાઈ જયંતિભાઈ પટેલ (રહે. જુના દેવળીયા) અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ સહિત બે આરોપીઓ ફરાર છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદીને નાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લામાંથી પસાર થતા હાઇવે રોડ પર વાહનોમાં ચોરીછૂપીથી દારૂ ઘુસાડવાના પ્રયાસોને રોકવા માટે અસરકારક કામગીરી કરવા LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમોએ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. ચોક્કસ બાતમીના આધારે વિરમગામ-લખતર હાઇવે રોડ પર ભાસ્કરપરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી બોલેરો કેમ્પર ગાડીને રોકવામાં આવી હતી. પોલીસે બોલેરો કેમ્પર ગાડી (કિંમત રૂ. 5,00,000), 740 નંગ ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટિક બોટલો (કિંમત રૂ. 2,03,500) અને એક મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000) સહિત કુલ રૂ. 7,13,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તથા સ્ટાફના એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.કોન્સ. સંજયભાઈ પાઠક અને પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 2:52 pm

14 વર્ષે આજીવન સજાનો કેદી મુક્ત,:જૂનાગઢ જેલમાંથી આજીવન કેદના કેદી અશોક સાકરિયાની મુક્તિ; 5 વર્ષની મૂકીને આવેલા દીકરી હવે લગ્ન યોગ્ય થઈ, જેલમાં ગૌસેવા અને ખેતી શીખ્યા.

​જૂનાગઢ જિલ્લા જેલમાંથી માનવીય અભિગમ અને સુધારાવાદી ન્યાય પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા વધુ એક કેદીને તેના સારા વર્તનના આધારે જેલમુક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામના વતની અશોકભાઈ હકાભાઈ સાકરિયા 14 વર્ષના લાંબા જેલવાસ બાદ આજે મુક્ત થઈ પોતાના પરિવાર પાસે પરત ફર્યા છે. જેલમુક્તિ સમયે જેલ પ્રશાસન દ્વારા તેમને શાલ ઓઢાડી, શ્રીફળ અને ભગવદગીતા આપી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ​અશોકભાઈ સાકરિયા વિરુદ્ધ હત્યાના ગુનામાં કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, સી.આર.પી.સી.ના પ્રાવધાન અને રાજ્ય સરકારની વર્ષ 1992ની પોલિસી મુજબ, જે કેદીઓ 14 વર્ષની સજા પૂર્ણ કરે અને જેલવાસ દરમિયાન જેમનું વર્તન સંતોષકારક હોય, તેમને મુક્ત કરવાની સત્તા સરકાર પાસે હોય છે. આ જોગવાઈ હેઠળ અશોકભાઈના સદાચરણને ધ્યાને રાખીને તેમને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે જ્યારે તેઓ જેલની બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર નવી જિંદગી શરૂ કરવાની આશા અને પરિવારને મળવાની આતુરતા સ્પષ્ટ દેખાતી હતી. ​આ જેલમુક્તિ સાથે એક અત્યંત ભાવુક પાસું જોડાયેલું છે. જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહરે વિગતો આપતા જણાવ્યું હતું કે, જ્યારે અશોકભાઈ જેલમાં આવ્યા ત્યારે તેમની દીકરી વૈશાલીની ઉંમર માત્ર 5 વર્ષની હતી. પિતા જેલમાં ગયા ત્યારે દીકરી માંડ શાળાએ જવાની શરૂઆત કરી રહી હતી, અને આજે જ્યારે પિતા 14 વર્ષ પછી મુક્ત થયા છે ત્યારે દીકરી લગ્ન યોગ્ય વયની થઈ ગઈ છે. પરિવારથી દૂર વિતાવેલો આ દાયકા કરતા વધુનો સમય અશોકભાઈ માટે આત્મમંથનનો કાળ રહ્યો છે. ​જેલવાસ દરમિયાન અશોકભાઈએ પોતાનો સમય પસ્તાવામાં વેડફવાને બદલે રચનાત્મક કાર્યોમાં વિતાવ્યો હતો. તેમણે જેલમાં રસોઈ બનાવવાની કળા શીખી હતી. ત્યારબાદ તેઓ જૂનાગઢની ઓપન જેલ ગૌશાળામાં શિફ્ટ થયા હતા, જ્યાં તેમણે ગૌ-સેવા, ગૌશાળાનું સંચાલન અને ખેતીવાડીની આધુનિક પદ્ધતિઓનું જ્ઞાન મેળવ્યું હતું. અશોકભાઈએ પોતે જણાવ્યું હતું કે હું જેલમાં રહીને ગાયોની સેવા કરતો હતો, ઘાસ કટિંગ, ટ્રેક્ટર દ્વારા ખેતીકામ અને વાવેતર જેવી તમામ પ્રવૃત્તિઓ શીખ્યો છું. હવે બહાર જઈને ખેતીવાડી અને મજૂરી કામ કરીને જવાબદાર નાગરિક તરીકે જીવન જીવીશ. ​આ પ્રસંગે D.L.S.A. ના સેક્રેટરી જજ ડી.કે. ચંદાણી અને જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહાર સહિતના સ્ટાફે કેદીને શુભેચ્છા પાઠવી હતી. અધિકારી લોહરે ઉમેર્યું કે, આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ હવે માત્ર શિક્ષાત્મક નથી રહી, પરંતુ સુધારાવાદી બની છે. વર્ષ 2019થી અત્યાર સુધીમાં જૂનાગઢ જેલમાંથી 20થી વધુ અને સમગ્ર ગુજરાતમાં 650થી વધુ કેદીઓને આ પોલિસી હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે. જેલમાં મળેલી કૌશલ્ય તાલીમ હવે અશોકભાઈને સમાજમાં પુનઃસ્થાપિત થવામાં અને રોજગારી મેળવવામાં મદદરૂપ સાબિત થશે. અશોકભાઈએ પોતાની મુક્તિ બદલ જેલ સ્ટાફ, જજ સાહેબ અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 2:42 pm

વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, CCTV:ટક્કર બાદ રાહદારી ડિવાઈડર પર લટકતો રહ્યો; લોકો જોતા રહ્યા ને વાહનો લાશ પરથી પસાર થતા રહ્યા

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી નજીક બલીઠા વિસ્તારમાં નેશનલ હાઈવે-48 પર હિટ એન્ડ રનની એક એવી કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેણે માનવીય સંવેદનશીલતા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. એક અજાણ્યા રાહદારીનું અકસ્માતમાં મોત થયા બાદ તેનો મૃતદેહ 20 મિનિટ સુધી હાઈવે પર રઝળતો રહ્યો અને અનેક વાહનો તેને કચડીને પસાર થઈ ગયા, છતાં કોઈએ માનવતા દાખવી વાહન થોભાવ્યું નહીં. મોતનો 20 મિનિટનો ભયાનક ખેલ શનિવારે રાત્રે બલીઠા હાઈવે પર પૂરઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, રાહદારી હવામાં ફંગોળાઈને સીધો હાઈવેના ડિવાઈડર પર બનેલી સેફ્ટી દીવાલ પર જઈ પટકાયો હતો. ચોંકાવનારી વિગત એ છે કે, અકસ્માત બાદ રાહદારી અંદાજે 20 મિનિટ સુધી સેફ્ટી દીવાલ પર લટકતો રહ્યો હતો. ત્યાર બાદ રસ્તા પર પટકાયો હતો, પરંતુ હાઈવે પર પસાર થતાં ચાલકોમાં સંવેદનહીનતા એટલી હદે હતી કે, એક પછી એક અનેક વાહનો આ મૃતદેહ પરથી પસાર થઈ ગયા હતા. એક કારચાલકની સમયસૂચકતા જ્યારે અનેક વાહનચાલકો આ ભયાનક દૃશ્ય જોઈને પણ અનદેખું કરી રહ્યા હતા, ત્યારે એક જાગૃત કારચાલકે પોતાની કાર રોકી માનવતા દાખવી હતી. તેણે તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. CCTV અને સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ચાલુ ટ્રાફિક વચ્ચે પણ વાહનચાલકો મૃતક પર ધ્યાન આપ્યા વગર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે. આ દૃશ્યો ભલભલા પથ્થર દિલના માનવીના પણ રૂંવાડા ઉભા કરી દે તેવા વિચલિત કરનારા છે. પોલીસ તપાસ અને ઓળખની કાર્યવાહી ઘટનાની જાણ થતા જ વાપી ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રસ્તા પરથી વિખરાયેલી હાલતમાં મૃતદેહનો કબજો મેળવ્યો હતો. આ ઘટનાએ માત્ર માર્ગ સુરક્ષા જ નહીં, પરંતુ 'શહેરી સંવેદનહીનતા' સામે પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે. હિટ-એન્ડ-રનમાં મહિલાનું મોત, હાઈવે પર માંસના લોચા ઊડ્યાં વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા ભારે વાહનની ટક્કરે બાઈક સવાર 43 વર્ષીય મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. લગ્ન પ્રસંગમાંથી પતિ સાથે પરત ફરી રહેલી મહિલાને અંધારામાં પાછળથી આવતા વાહને જોરદાર ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું અને રસ્તા પર માંસના લોચા પથરાયા હતા. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… બેકાબૂ થારે 2 બાળક સહિત વૃદ્ધને કચડ્યા, 30 ફૂટ દૂર ફેંકાયા; પળવારમાં 3 જિંદગી ખતમ ગુરુગ્રામ જિલ્લાના પટૌડી વિસ્તારના ખોડ ગામમાં મોડી રાત્રે એક બેકાબૂ થારે ત્રણ લોકોને કચડી નાખ્યા, જેના કારણે બે બાળકો અને એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ત્રણેયના મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા અને તપાસ શરૂ કરી. સંપૂર્ણ અહેવાલ વાંચો…

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 2:32 pm

રુક્મણી વિવાહ વરઘોડા પહેલા દ્વારકામાં તંત્રનું કડક નિરીક્ષણ:સ્વાગત માર્ગો, ટ્રાફિક, સ્વચ્છતા અને સુરક્ષાની સમીક્ષા કરાઈ

યાત્રાધામ દ્વારકામાં 31 માર્ચે યોજાનારા રુક્મણી વિવાહ વરઘોડા પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અધિકારીઓએ સ્વાગત માર્ગો પર કડક નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નાયબ પોલીસ અધિકારી સાગર રાઠોડ અને ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવી સહિતના અધિકારીઓ મેદાનમાં ઉતર્યા હતા. તેમણે સ્વાગત માર્ગો, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. પરંપરા મુજબ માધવપુરથી આવનારા રુક્મણી વિવાહ ઉત્સવને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા સ્વાગત માર્ગો પર નિરીક્ષણ ઉપરાંત શહેરના આગેવાનો દ્વારા પણ સ્વાગતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય આયોજનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પણ જોડાવાના હોવાનું જાણવા મળે છે. હરેક કૃષ્ણ ભક્તોને આ ભવ્ય ઉત્સવમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 2:22 pm

સોશિયલ મીડિયામાં હથિયાર પ્રદર્શન:સુરેન્દ્રનગર SOGએ એક શખ્સને ઝડપ્યો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

સુરેન્દ્રનગર SOGએ સોશિયલ મીડિયા પર હથિયાર પ્રદર્શન કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOG સ્ટાફના PC સાહિલભાઈ મહંમદભાઈને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે પ્રદર્શન કરતા ઇસમની તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ વણોલ હિમાલયભાઈ ભરતભાઈ (ઉંમર 25, ધંધો ખેતી, રહે. કઠાડા, તા. દસાડા, જિ. સુરેન્દ્રનગર) જણાવ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તેણે આશરે સાત વર્ષ પહેલાં હથિયાર સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. હથિયાર અંગેની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે આ હથિયાર મોહનભાઈ ભવાનભાઈ વણોલ (રહે. કઠાડા, તા. દસાડા, જિ. સુરેન્દ્રનગર)નું હતું. આ બંને ઇસમો વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ, 29(બી) અને 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 2:14 pm