ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વોર્ડ નંબર 4(કરચલિયાપરા)માં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત ટર્મમાં ભાજપના ચાર ઉમેદવારે આ વોર્ડમાં જીત મેળવી હતી. જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, મતદારો રોડ રસ્તા, ગટર, ગંદકીના કારણે મરછરનો ઉપદ્રવ, અનિયમિત સફાઈ તેમજ પાણી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ વિકાસના દાવા અને આક્ષેપબાજીમાં વ્યસ્ત છે. ‘અમારું કામ થશે તો જ મત આપીશું’ટેકરી વિસ્તારના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અહીં ગટરનું પાણી કાયમ ઉભરાય છે. દરોજ ફરિયાદ કરીએ છીએ તો જવાબ મળે છે કે થઈ જશે. ત્યારે જોવા આવે છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. ગંદકી અને ડ્રેનેજના પાણીના કારણે છોકરાઓ બિમાર પડે છે. આ વખતે ચૂંટણીમાં જે અમારું કામ કરશે, અમારું સાંભળશે, એને અમે મત આપીશું. એટલું જ નહીં જે અમારી સમસ્યા લઈને તેમની પાસે જઈશું અને કામ થશે તો જ મત આપવા છે. ‘ફરિયાદ કરીએ છતા કોઈ જવાબ નથી આપતું’સ્થાનિક મહિલા કાજલબેને જણાવ્યું હતું કે, કચરાવાળા સમયસર આવતા નથી. અમે મહાનગરપાલિકામાં કેટલી વાર ફરિયાદ કરવા ગયા પણ કોઈ જવાબ દેતું નથી. મત લેવાનો હોય છે ત્યારે બધા આવે છે પણ કામ કરવા કોઈ આવતું નથી. એટલે આ વખતે કોઈને મત દેવાની ઈચ્છા નથી. આ સમસ્યાને ચાર વર્ષ તો થયા પણ નિરાકરણ આવતું નથી. 'ચોમાસામાં દર વર્ષે ગંદુ પાણી આવે છે'સ્થાનિક સંજયભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં પીવાનું પાણી ગંદુ આવે છે. કોર્પોરેટર આવે અને કહે છે કે થઈ જશે. જો કે વોટ આપવાનો હોય ત્યારે આવે અને પછી વોટ મળી જાય અને ખુરશી પર બેસી જાય પછી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. 'ખુરશી મળે એટલે જલસા કરવાના'રુવાપરી રોડ ટેકરીચોક વિસ્તારના સ્થાનિક ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે, નથી રોડ બનતો, નથી ગટર લાઈન અને પાણીની સમસ્યા પણ છે. અહીંથી અમારા 300થી 400 ઝૂપડા છે, અમારી માંગ પૂરી થશે ત્યારે અમે વોટ આપીશું. ચૂંટણી આવે ત્યારે વોટ લેવા આવે, પાંચ જ દિવસએ લોકો માંગવા આવે છે, પછી પાંચ વર્ષ સુધી અમારે ધક્કા ખાવાના. ખુરશી મળે એટલે જલસા કરવાના, બાકી ગરીબ કોણ છે કોઈને ખબર નથી. ‘બાકી રહેતા વિકાસના કામો અમે પૂર્ણ કરીશું’આ અંગે વોર્ડ નંબર 4 પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમારા કાર્યકાળ દરમિયાન અમે ચારેય નગરસેવકો દ્વારા કુંભારવાડા વિસ્તારમાં આશરે 150 કરોડના કામ અમે કર્યાં છે. અમારા વિસ્તારમાં પહેલી તો લાઈબ્રેરી છે. આખા ભાવનગરની અંદર પ્રથમ લાઈબ્રેરી છે એ અમારા વોર્ડમાં બની. PHC સેન્ટર નવું બની રહ્યું છે. છેવાડાના લોકો સુધી ધનાનગર, શાંતિનગર એ બધા વિસ્તારની અંદર બ્લોક નખાવ્યા છે. ધનાનગરમાં ડ્રેનેજની પણ નવી લાઈનો નખાવી છે અને જે પણ બાકી રહેતા કામો પણ હજુ અમે પૂરા કરીશું. 'ગંદકીના કારણે લોકો બિમાર પડે જે પૈસા દવામાં જાય છે'વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર સાગરભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં પાંચ વર્ષમાં કોઈ કામ થયા જ નથી. ગટરની સમસ્યા તો એટલી હદે વધી ગઈ છે કે માણસો રોગચાળાથી પીડાય છે અને માંદા પડે છે. મધ્યમવર્ગ, ગરીબવર્ગના લોકો અહીંયા રહે છે જે રોજ સવારે રોજીરોટી લાવીને ખાય છે, તો એના પૈસા દવામાં જ જાય છે. 'કોર્પોરેટરે રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી'સમસ્યા એવી છે કે રુવાપરીથી વૈશાલી ટોકીઝ સુધીનો રોડ જ્યારે બિસમાર હાલતમાં હતો ત્યારે જે રોડ બનાવવા માટે અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો હતા તેમણે પણ રાજીનામાની ચીમકી આપવી પડી હતી. એક નનામી પણ અહીથી જઈ શક્તિ નહોતી, એ નનામી જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે જનતામાં ખૂબ આક્રોશ હતો.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અમરોલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા યુવકે લગ્ન થતા ના હોવાથી હતાશામાં આવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે બોટાદના રહેવાસી અને હાલ વેડરોડ ખાતે રહેતા બીસીએના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે અભ્યાસના તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આપઘાતનો પહેલો બનાવમળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામના વતની અને હાલ અમરોલી છાપરાભાઠા ખાતે આવેલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા 29 વર્ષીય સચિન રમેશભાઈ પીપલીયા હીરાના કારખાનામાં મશીન રીપેરીંગનું કામકાજ કરી માતા-પિતા સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. સાંજે સચિને ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમરોલી પોલીસે સચિને મારતા પહેલા લખેલી સુસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં સચિને હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એક પેજમાં ગુજરાતીમાં સુસાઇડ નોટ લખેલી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સચીને તેમના લગ્ન થતા ન હોવાથી હતાશામાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આપઘાતનો બીજો બનાવમળતી માહિતી અનુસાર, મૂળ બોટાદ જિલ્લાના સમઢીયાળા ગામના વતની અને હાલ વેડરોડ વિસ્તારમાં આવેલ ભગુનગર સોસાયટી વિભાગ-૧માં ૨૨ વર્ષીય શર્મિલ મુકેશભાઈ માંડવીયા પરિવાર સાથે રહેતો હતો. શર્મિલ બીસીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેમના પિતા વતનમાં ખેતી કામ કરે છે. બપોરે શર્મિલે ઘરે લોખંડના પાઇપ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચોકબજાર પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શર્મિલએ અભ્યાસના તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.
સુરતના ડુમસ રોડ પર જાણીતા 'વુપ (Woop) એમ્યુઝમેન્ટ પાર્ક' ના માલિકો રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, સુરતના ડુમસ રોડ પર 'વુપ એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ' ચલાવતા રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. રજત મહીન્દુ આ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાની કંપનીમાં હિસ્સો આપવાના બહાને સદાનંદ મંધ્યાન પાસેથી ટુકડે-ટુકડે રૂ. 6.75 કરોડની રકમ મેળવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ છે કે આરોપીઓએ ફરિયાદી સાથે મિત્રતાનો સંબંધ હોવાનો ફાયદો ઉઠાવી વિશ્વાસઘાત કર્યો છે. દસ વર્ષ જૂની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યાનો આક્ષેપસદાનંદ મંધ્યાન દ્વારા પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપી નિશા મહીન્દુ અને ફરિયાદીની પત્ની વચ્ચે છેલ્લા 10 વર્ષથી મિત્રતા હતી. આ પારિવારિક સંબંધોને કારણે એકબીજાના ઘરે આવવા-જવાના સંબંધો હતા. જુલાઈ-2024માં રજત અને નિશા મહીન્દુ ફરિયાદીના ઘરે ગયા હતા અને જણાવ્યું હતું કે તેમનો બેંગલુરુ ખાતેનો નવો ગેમઝોન પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે અને તેમાં નાણાંની જરૂર છે. જો તેઓ રોકાણ કરશે તો કંપનીમાં 25% શેર આપવાની ખાતરી ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી. ટુકડે-ટુકડે 6.75 કરોડ પડાવ્યાફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિશ્વાસમાં આવીને ફરિયાદીએ શરૂઆતમાં નિશા મહીન્દુના ખાતામાં 2.50 લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ રજત મહીન્દુએ કંપની માટે વધુ નાણાંની માંગણી કરતા ઓગસ્ટ-2024થી મે-2025 દરમિયાન અલગ-અલગ તારીખે કુલ 6.75 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ આ રકમ અનસિક્યોર્ડ લોન પેટે મેળવી હતી અને તેના બદલામાં કંપનીના 25,000 શેર આપવાનું વચન આપ્યું હતું. ખોટા દસ્તાવેજો બનાવી ગેરમાર્ગે દોર્યાફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, રજત મહીન્દુએ વિશ્વાસ જીતવા માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકેની સહીવાળા પત્રો અને શેર ટ્રાન્સફરના SH-4 ફોર્મ મોકલી આપ્યા હતા. ફરિયાદ મુજબ, આ પત્રોમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે ફરિયાદીની કંપની 'કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ' હવે વુપ એમ્યુઝમેન્ટમાં 25%ની ભાગીદાર છે. જોકે, આરોપીઓએ આ દસ્તાવેજો માત્ર વિશ્વાસ કેળવવા માટે જ બનાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે. શેર સર્ટિફિકેટમાં છેડછાડ કર્યાની પોલીસમાં રજૂઆતફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, સપ્ટેમ્બર-2025માં આરોપીઓએ 18,000 શેરનું જે સર્ટિફિકેટ (SH-1) વોટ્સએપ પર મોકલ્યું હતું તેમાં ડિસ્ટિન્ક્ટિવ નંબર લખેલા નહોતા અને કંપનીના નામમાં પણ ભૂલ હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેમણે 25,000 શેર અંગે પૂછ્યું ત્યારે આરોપીઓએ પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો હોવાનું બહાનું બતાવીને ગેરમાર્ગે દોર્યા હતા. ROCમાં નોંધણી ના કરી હોવાનું તપાસમાં ખુલ્યાની ફરિયાદસદાનંદ મંધ્યાનની ફરિયાદ મુજબ, જાન્યુઆરી-2026માં જાણવા મળ્યું કે આરોપીઓએ ROC (રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ) માં આ શેર ટ્રાન્સફરની કોઈ સત્તાવાર નોંધણી કરી જ નથી. ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે કંપનીના MGT ફોર્મમાં તેમને માત્ર 14,000 શેરના ધારક જ દર્શાવવામાં આવ્યા હતા. એટલે કે, ફરિયાદીએ આપેલા કરોડો રૂપિયા લીધા બાદ પણ તેમને કાયદેસરનો હિસ્સો આપવાને બદલે માત્ર કાગળ પર જ શેર બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. કંપનીમાંથી પણ હાંકી કાઢ્યા હોવાનો ઉલ્લેખસૌથી ગંભીર આક્ષેપ ફરિયાદમાં એ છે કે, જ્યારે ફરિયાદીના CA દ્વારા હિસાબ માંગવામાં આવ્યો ત્યારે આરોપીઓએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ, 12 ફેબ્રુઆરી 2026ના રોજ રજત મહીન્દુએ ઇમેઇલ કરીને એવી જાણ કરી કે તમે ફોર્મ જમા કરાવ્યું નથી. તેથી તમને શેર હોલ્ડર ગણવામાં આવતા નથી અને તમે જનરલ મીટિંગમાં પણ આવી શકશો નહીં. આમ, નાણાં પડાવી લીધા બાદ પણ તેમને છેતરી દેવામાં આવ્યા હોવાની હકીકત પોલીસ ફરિયાદમાં વર્ણવવામાં આવી છે. વેસુ પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ શરૂ કરીફરિયાદી સદાનંદ મંધ્યાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રજત અને નિશા મહીન્દુએ ખોટા દસ્તાવેજો બનાવી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી 6.75 કરોડની છેતરપિંડી આચરી છે. આ ફરિયાદના આધારે વેસુ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે આરોપીઓએ આપેલા બેંક ખાતાઓની વિગતો અને ROC ના રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
સુરત શહેર દિવસેને દિવસે વિકસી રહ્યું છે. શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે ખૂબ જરૂરી બનતું હોય છે અને તેને જ લઈને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી સંગ્રામ લોકોને મળતી પ્રાથમિક સુવિધાના કારણે હાર જીત નક્કી થતી હોય છે. ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં લોકોની સમસ્યા જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર લોકો વચ્ચે પહોંચી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રસાસ કર્યો હતો. મિલોના ધુમાડાથી રહીશો ત્રાહિમામઅશ્વિનીકુમાર રોડ વિસ્તારનું સૌથી મોટી સમસ્યા છે રહેણાંક વિસ્તારમાં કાપડની મિલો. આ મિલોમાંથી નીકળતો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. ઘરની દીવાલો પણ કાળી થઈ જતી હોય એટલો ધુમાડો રોજ થાય છે. આ સાથે જ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગારનું દુષણ પણ મોટા પ્રમાણમાં છે. ફુલપાડા વિસ્તારમાં આવેલા નંદઘરમાં જીવના જોખમે ભૂલકાઓ ભણી રહ્યા છે. રજૂઆત છતા રોડ યોગ્ય રીતે બનતા નથીઆ વિસ્તારની મહિલાઓએ પોતાના વિસ્તારમાં ચોપાટી, રસ્તા, શાળા તેમજ વૃદ્ધોને બેસવા માટે શાંતિકુંજ ગાર્ડન બનાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટરો દ્વારા જે કામ કરવામાં આવ્યા છે. એ કામ તકલાદી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે રોડ-રસ્તાની ખૂબ જ તકલીફ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રસ્તા યોગ્ય રીતે બનતા નથી. હવે કોઈ પણ મત માંગવા આવે તો પહેલા અમારી મુખ્ય માંગણી રોડ બનાવવાની રહેશે ત્યારબાદ જ અમે મત આપવા જશું. 'સ્કૂલ ફીમાં ઘટાડો કરવામાં આવે'ગૃહિણી શીતલ ગજેરાએ જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર સારું હોવું જોઈએ, સ્કૂલ સારી હોવી જોઈએ. નાના-મોટા ગાર્ડન બનાવી આપે તો સારું રહે. સ્થાનિક લુણાગરીયા કિરણબેને જણાવ્યું હતું કે, અહીંયા સ્કૂલમાં ફી બહુ વધારે છે. અત્યારે નાના માણસો પાસે પૈસા નથી હોતા. એટલે ફી ઓછી કરે એવી અમારી માગ છે. નવા રોડ બનાવવામાં આવે છે પરંતુ 4-6 મહિનામાં જ ફરીથી એવી જ પરિસ્થિત થઈ જાય છે. 'એક વાર AAPને મોકો આપવો જોઈએ'સ્થાનિક પીપળિયા અનસૂયાબેને જણાવ્યું હતું કે, એક વખત સરકારને પણ બદલવી જોઈએ અને એક વખત બીજાને પણ મોકો આપવો જોઈએ. AAP વાળાને મોકો આપો તો એ શું કામ કરે છે એ આપણને પણ ખબર પડે. અત્યારે તો બધી સુવિધા આપે છે પણ ચૂંટણી જતી રહે એટલે બધા બધું જ ભૂલી જાય છે અને કોઈ કામ વ્યવસ્થિત કરતા નથી. AAP વાળા એમ કહે છે કે અમે કરી આપીશું, તો એને પણ એક મોકો આપવો જોઈએ કે એ કેવું કામ કરે છે. આ વિસ્તારમાં મહિલાઓ માટે કોઈ સુરક્ષા નથી. એટલું જ નહીં અનસૂયાબેને ગેસ સિલિન્ડર ન મળતા હોવાની વ્યથા ઠાલવી હતી. 'દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ છે'કરિયાણાના વેપારી ગૌતમભાઈ જૈને જણાવ્યું હતું કે, અહીંયા દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ બરાબર થતો નથી. આ વિસ્તારના કોર્પોરેટરને ક્યારેય નથી જોયા. આવે તો કહેવું જ પડશે કે આ નિકાલ કરાવો, વોટ તો માંગવા આવો છો તમે અહીંયા! આ દર વર્ષે પાણી દુકાનમાં ભરાય તો શું મતલબ છે? દર વર્ષે એકની એક રામાયણ છે અમારે તો પાણીની કરવાની હોય છે. 'સારી સુવિધા મળે તો જ વોટ આપીશું'સ્થાનિક પ્રવીણ ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બસ મોટી આ સમસ્યા, રોડની આ સમસ્યા છે. આરોગ્ય કેન્દ્ર છે પણ દૂર છે. પહેલા અમારી જે પાયાની જે સુવિધા છે, એની ઉપર જો ગવર્મેન્ટ, સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્યાન આપે તો જ અમે વોટિંગ કરીશું. 'મિલોના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ'દુકાનદાર ગૌતમભાઈ પરમારે જણાવ્યું હતું કે, હું આ વિસ્તારમાં 40 વર્ષથી રહું છું. સમસ્યા એવી છે કે આ વિસ્તારની અંદર આજે કેટલાય વર્ષોથી મીલો ચાલુ છે. મીલોનો ધૂમાડો એટલો બધો ત્રાસ આપે છે કે માણસ બિમાર પડી જાય. 50 વર્ષની ઉંમરના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ટાઇમ હોય, તેમને સ્ટડી કરવાનું હોય અને બારી ખોલીને ચોખ્ખી હવા લેવાની હોય, જેથી તેમનું મગજ ચાલે, તો એ લોકો શ્વાસ નથી લઈ શકતા. ‘સમસ્યા સાંભળવા કોઈ નથી’ટેરેસ પર જઈએ તો ટેરેસ પર એકદમ કાળું ડીબાંગ જેવું હોય અને હાથ લગાડીએ તો ધૂમાડાના રજકણો હાથમાં આવે છે. ઘણી રજૂઆતો કરી, સ્થાનિક કોર્પોરેટરોને પણ માહિતી આપી, પણ કોઈ ધ્યાન દેતું નથી. જ્યારે કામ હોય ત્યારે 'હા' પાડીને જાય છે પણ કામ પત્યા પછી મીલના ધૂમાડા ચાલુ જ રહે છે. અમારા જેવા સામાન્ય નાગરિકો પીડાઈ રહ્યા છે, સાંભળવા વાળું કોઈ નથી. ‘મહિલાઓની સામે ગાંજા, દારૂની હેરાફરી’આ ઉપરાંત, અહીં દારૂ અને ગાંજો પણ બેફામ મળે છે. વૃદ્ધો અને બહેનો નીકળતા હોય તેમની સામે ગાંજાની સપ્લાય અને દારૂનું વેચાણ થાય છે. અમે સવારે શોપ ખોલીએ તો સામે દારૂની 8-10 બોટલો પડી હોય છે. અમને દેખાય છે તો શું બીજા લોકોને કે સ્થાનિક તંત્રને નથી દેખાતું?
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અસારવા વોર્ડમાં શું સ્થિતિ છે. આ વિસ્તારનો વિકાસ કેવો થયો છે. અહીં સ્થાનિકો કોર્પોરેટરની શું ફરિયાદ કરી રહ્યા છે, તે માટે દિવ્ય ભાસ્કર દ્વારા અસારવા વોર્ડનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઅસારવા વોર્ડમાં અસારવા ચકલા,મેઘાણીનગર, કલાપી નગર,ચમનપુરા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.અહીંયા મોટાભાગે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે. સાથે જ કેટલાક વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા પણ છે. અસારવામાં સ્થાનિકોનું કહેવું છે કે અમારા ત્યાં તો વર્ષોથી વરસાદના પાણીની સમસ્યા હતી. જે અત્યારે ઓછી થઈ છે. બાકી વિસ્તારમાં મોન્ટુ ભાઈ (પૂર્વ કોર્પોરેટર - દિશાંત ઠાકોર)અમારી બધી સમસ્યા પર નજર રાખે છે. 'સફાઈ થાય તો માનીએ કે કામ થયું'સ્થાનિક ઈન્દુબેને જણાવ્યું હતું કે, આ ગટર લાઈનનું રોજે પાણી નીકળે છે. છેલ્લા સાત આઠ મહિનાથી આ સમસ્યા છે. જોવા આવે, પણ કોઈ કામ થતું નથી અહીયા. રજૂઆત તો કેટલી કરી અમે, પણ કોઈ સાંભળતું નહી. રાતનું કામ ચાલે છે શું કરીને જાય છે શું નહીં અમને ખબર નહી. પણ અમારે તો સફાઈ થાય ત્યારે કહેવાય કે કામ કર્યું કહેવાય. બાકી અમે ના માનીએ કે કામ કર્યું. 'કોર્પોરેટર તો અહીંયા આવતા જ નથી'મોઈદુદ્દીન કુરેશીએ જણાવ્યું હતું કે, સમસ્યા પાણીની છે. પાણી પહેલા ભરાતું હતું, પછી બંધ થઈ ગયું. અને આ 15-20 દિવસથી ફરીથી ગટરનું પાણી આવે છે.વરસાદમાં તો કમરસમા પાણી ભરાઈ છે અહીંયા. એ બધાની તકલીફ છે, મારી એકની નથી. રજૂઆત કરી હતી પણ કોઈ સુનાવણી નથી થતી ભાઈ, સમજી ગયા તમે? એવું છે. અમારી તો કોઈ સાંભળતું પણ નથી. અમે ગટરવાળાને બોલાવીએ તો એ લોકો કહે 'અમે શું કરીએ?'. કોર્પોરેટર તો અહીંયા આવતા જ નથી. 'મેઘાણીનગરમાં પાણીની ટાંક બનાવાઈ'અસારવા વોર્ડથી પૂર્વ કોર્પોરેટર દિશાંત ઠાકોરે કહ્યું કે, પાંચ વર્ષની અંદર અસારવા મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે મેં જે અસારવા વોર્ડમાં સૌથી મોટો પાણીનો જે પ્રશ્ન હતો, એના માટે આપણે મેઘાણીનગર પાણીની ટાંકી જે બનાવી એ સૌથી મુખ્ય કામ હતું. એ પછી જે મુખ્ય STP પ્લાન્ટનું હતું, STP પ્લાન્ટ 18 કરોડના ખર્ચે જે પમ્પિંગ સ્ટેશનની બહાર બની રહ્યો છે. પમ્પિંગ સ્ટેશન એ સાડા ત્રણ કરોડના ખર્ચે નવીનીકરણ કર્યું. ‘ચાલીમાં ડ્રેનેજના પાણીનો પ્રશ્નનો ઉકેલ આવશે’રિહેબના કામો હતા જે અસારવા વોર્ડમાં ઘણા સમયથી કામ બાકી રહી ગયા હતા. એ રિહેબના કામોનું પોલ્યુશન અંતર્ગત 68 કરોડ રૂપિયાનું કામ જે અસારવા વોર્ડમાં (હું વોટર સપ્લાય કમિટીમાં હતો) અમે ચારેય કાઉન્સિલરોએ ભેગા થઈને કામ લાવ્યા અને ધારાસભ્ય દર્શનાબેને આ કામમાં મદદ કરી હતી. એ કામ થવાથી અસારવામાં જે ચાલીઓમાં ડ્રેનેજના ગંદા પાણીનો પ્રશ્ન છે એનો હલ આવશે અને એનું કાયમી સોલ્યુશનનો નિકાલ થશે. વરસાદમાં જે આજથી 15 વર્ષ પહેલા ત્રણ-ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા હતા, એનું કાયમી સોલ્યુશન અસારવા તળાવ બનવાથી આવી ગયેલું છે. અને બીજું જે STP પ્લાન્ટ બનશે એમાં પર-ડે 20 લાખ લીટર (2 MLD)નો પ્લાન્ટ બની રહ્યો છે, તો એ તરત જ પાણી ઉતરી જશે અને એકાદ કલાકમાં જે વિસ્તાર નાનો હોવા છતાં જે જગ્યામાં પાણી ભરાય છે એમાં રાહત મળશે. 'વેપારીઓ અને સ્થાનિકો ત્રસ્ત છે' જયપાલસિંહએ જણાવ્યું હતું કે, પ્રથમ યાદી આમ આદમી પાર્ટીની જે ઉમેદવારની આવી, એમાં મારું નામ હતું. અસારવા વોર્ડનો ચમનપુરા અને ઓમ નગરનો વિસ્તાર છે, જ્યાં આ ગટરની સમસ્યા છેલ્લા 6 મહિનાથી છે. વચ્ચે 15 દિવસ પાણી બંધ થયું હતું અને પાછું અત્યારે 15 દિવસથી કોન્સ્ટન્ટ ગટરનું પાણી આવે છે. અહીંયા વેપારીઓ હેરાન થઈ રહ્યા છે અને પબ્લિક પણ ખાસી હેરાન થઈ રહી છે. 'ખાલી દેખાડો કરવા પૂરતી કામગીરી ચાલુ કરી'જયપાલસિંહે વધુમાં જણાવ્યું હતું કે, અડધો ઈંચ વરસાદ પડે ને, તો પણ કમર સુધી પાણી ભરાઈ જાય છે. અત્યારે હવે ખબર છે કે ચૂંટણીના ઢોલ વાગ્યા છે એટલે કામગીરી ચાલુ કરી છે ખાલી દેખાડો કરવા પૂરતી. અને કહે છે કે રોજ 20,000 લિટર પીવાનું ચોખ્ખું પાણી મળશે. પણ જે પાંચ વર્ષથી તમે કંઈ કામ નથી કર્યું, એનો રિપોર્ટ તો આપો જનતાને! અત્યારે હું તો એ જ કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી એટલી મજબૂતાઈથી આ વખતે લડશેને કે બધું બદલી નાખશે. ‘ગંદા પાણીના કારણે છોકરાઓ બિમાર પડે છે’સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું હતું કે, જ્યારથી ત્યાંથી ખોદકામ કર્યું છે (ક્રોસિંગ જોડેથી), ત્યારનું પાણી નીકળ્યા જ કરે છે. એ પાણી અમારે જાતે જ કાઢવું પડે છે અહીંયા. આની કોઈ તપાસ લેતું નથી ને કોઈ જોવા પણ ઊભા રહેતા નથી. તમે આ વીડિયો બતાવી દો એટલે એમને ખબર પડે કે આ કેટલું પાણી ભરાયું છે અને આગળ કેટલું પાણી ભરાય છે! નકરું પાણી દેખાય ને. એટલે અમારા નાના-નાના છોકરાઓ હોય, દુકાન લઈને બેઠેલા હોય અને અમારા છોકરા બીમાર થાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવા માટેની અંતિમ તારીખ આજે 15 એપ્રિલ છે ત્યારે વિરોધી ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવી બિનહરીફ થવા માટેના કાવાદાવા થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 11ના ભાજપના ઉમેદવાર બિનહરીફ બને તે માટે કોંગ્રેસના ઉમેદવારને ધાકધમકી મળી હોવાની ચર્ચા છે. જો કે આ અંગે કોંગ્રેસના પ્રમુખે કહ્યું છે કે, અનેક ઉમેદવારોને ધાકધમકી મળી રહી છે અને અમે તેઓને સલામત ખસેડવાની તજવીજ કરી રહ્યા છે. વોર્ડ 11માં ધનકુબેર પિતાના પુત્ર મેદાનમાં છે વોર્ડ 11માં ભાજપમાંથી ઉપેન્દ્ર પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી છે. ઉપેન્દ્ર પ્રજાપતિએ શહેરના ધનકુબેરો પૈકીના એક દલસુખ પ્રજપતિના પુત્ર છે. ગત ટર્મમાં તેઓના અન્ય પુત્ર કોર્પોરેટર હતા અને આ ચૂંટણીમાં તેઓના બીજા પુત્રને ટિકિટ આપવામાં આવી છે. તેની સામે કોંગ્રેસમાંથી કનુભાઈ પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી છે. કનુભાઈ પ્રજાપતિ ગાયબ થઇ ગયા!જોકે ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ બને તે માટેના કાવાદાવાઓ કરવામાં આવી રહ્યાં છે. કનુભાઈ પ્રજાપતિ સવારથી જ પોતાના ઘરે નથી અને તેઓ ક્યાંક ગાયબ થઇ ગયા છે. તેઓના પરિવારજનોને પણ ખ્યાલ નથી કે તેઓ ક્યાં છે. તેના પરિવારજનો માત્ર એમ જ કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી લડશે કે નહીં તે આવતીકાલે ખબર પડશે. કનુભાઈ પ્રજાપતિ અમારા સંપર્કમાં નથી કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, વોર્ડ 11ના અમારા ઉમેદવાર ગઈકાલ(14 એપ્રિલ) સવારથી અમારા સંપર્કમાં નથી. તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. અન્ય વોર્ડમાં પણ ઉમેદવારી પરત ખેંચવા ધાકધમકી મળી રહી છે જેઓને પણ અમે સલામત સ્થળે ખસેડવા માટેની તજવીજ કરી રહયા છે. આજે જ ખબર પડશે કે કનુભાઈ પ્રજાપતિ ક્યાં હતા અને તેઓ ચૂંટણી લડશે કે નહીં. ભાજપના ઉમેદવારના પિતાની આખા ગુજરાતમાં સૌથી વધુ જમીન?વોર્ડ 11માં ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિના પિતા દલસુખ પ્રજાપતિ આખાયે ગુજરાતમાં સૌથી વધુ જમીન ધરાવતા ધનકુબેર હોવાનું કહેવાય છે. અને તેના કારણે જ તેઓ શામ, દામ, દંડ, ભેદ જેવી નીતિઓ અપનાવી રહયા હોવાની પણ ચર્ચા છે. કોંગ્રેસના ઉમેદવાર પણ પ્રજાપતિ સમાજમાંથી જ આવે છે જેથી તેઓ ઉપર સમાજમાંથી પણ દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કનુ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચશે તો ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ જાહેર થઇ જશે અને તેઓના વોર્ડમાં બાકીના 3 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં ઝંપલાવશે.
પ્રભાસ પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે હેતુથી શહેરમાં વ્યાપક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણ સિટી વિસ્તારના મુખ્ય માર્ગો, બજારો અને રાજમાર્ગો પર પોલીસના મોટા કાફલાએ પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ અસામાજિક તત્વો પર નજર રાખવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ ઊભો કરવાનો હતો. આ કામગીરીમાં પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વનારકા, પી.એસ.આઈ શક્તિસિંહ સોલંકી અને એસ.ડી. વડારીયા સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. તેમની સાથે સર્વેલન્સ સ્ક્વોડ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ સક્રિય રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્કતા વધારવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસની આ કામગીરીને આવકાર મળ્યો હતો. તેમણે નિર્ભય વાતાવરણમાં મતદાન થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
મહેન્દ્રનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા એક નાના ગામમાં થયો હતો. માતા‑પિતાએ તેને શાળામાં મોકલ્યો હતો પરંતુ અભ્યાસમાં ધ્યાન ન આપવાના કારણે તે પ્રાથમિક પરીક્ષામાં નિષ્ફળ રહ્યો. અભ્યાસમાં આગળ ન વધ્યો પણ તેને હસ્તકલામાં રસ હતો. જેથી તેણે ગામની નાની વર્કશોપમાં સુથારકામ શીખવાનું શરૂ કર્યું હતું. પડકારો વચ્ચે ભાષા શીખીસમય જતાં તેને કેન્યાના નૈરોબીના એક મોટા વર્કશોપમાં કામ કરવાની તક મળી પણ અહીં તેના માટે સૌથી મોટો પડકાર ભાષાનો હતો. સ્થાનિક ભાષા સ્વાહિલી બોલવામાં સરળ હતી પરંતુ તેનું અંગ્રેજી અક્ષરોમાં લખાતી હતી એટલે આ ભાષા શીખવા માટે તેણે પહેલાં અંગ્રેજી શીખવી જરૂરી હતી. મહેન્દ્રએ દૃઢ નિશ્ચય સાથે પુસ્તકો, યુટ્યુબ અને ઇન્ટરનેટની મદદથી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. થોડા જ મહિનામાં તેણે અંગ્રેજી અને સ્વાહિલી બંને ભાષાઓ વાંચતા, લખતા અને બોલતા શીખી લીધી હતી. 1 વર્ષ પછી મહેનતનું ફળ મળ્યુંએક વર્ષ પછી તેની મહેનતનું ફળ મળ્યું અને તેને વર્કશોપ ફોરમેન તરીકે પ્રમોશન મળ્યું. ટીમનું સંચાલન કરતાં‑કરતાં તેણે બારીઓ, દરવાજા અને વોર્ડ રોબ બનાવવા માટે જરૂરી એવી માપણી અને ગણતરીઓમાં કુશળતા મેળવી લીધી. સાથે‑સાથે તેણે CNC મશીનો ચલાવવાની કળા પણ શીખી અને ઇન્ટરનેટ તથા યુટ્યુબની મદદથી વિવિધ ડિઝાઇન અને પેટર્ન બનાવવાનું શરૂ કર્યું. ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવાનો નિર્ણયવર્ષો પસાર થતાં વર્કશોપ ખૂબ સફળ બન્યો. જેમાં લગભગ 50 લોકો કામ કરતા હતા. લગભગ 10 વર્ષ પછી કંપનીના ડિરેક્ટરે નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો અને વ્યવસાય વેચવાનો વિચાર કર્યો. મહેન્દ્ર પણ જીવનમાં આગળ વધવા ઇચ્છતો હતો તેથી તેણે ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો. તેના અનુભવને કારણે તેને ત્યાં આવું જ કામ શોધવામાં કોઇ મુશ્કેલી ન પડી. તેને સેશ વિન્ડોઝ અને વોર્ડરોબ બનાવવામાં નિષ્ણાત વર્કશોપમાં નોકરી મળી. એક વિચાર આવ્યો અને એપ બનાવીઆ કામમાં દરેક પ્રોજેક્ટ માટે લાકડાની માપ‑માપણી અને ગણતરીમાં ઘણો સમય જતો હતો. જેનાથી ઉત્પાદન ધીમું પડતું હતું. મહેન્દ્રના મનમાં વિચાર આવ્યો કે શું કોઇ સોફ્ટવેર અથવા એપ્લિકેશન આવી ગણતરીઓ સેકન્ડોમાં કરી શકે? કમ્પ્યુટર પ્રત્યે વધતા રસને કારણે તેણે પ્રયોગો શરૂ કર્યા. AIની મદદથી અને પોતાના અનુભવના આધારે તેણે બે એપ બનાવી. એક બારીઓ માટે અને એક વોર્ડરોબ માટે. જે હવે સેકન્ડોમાં લાકડાની જરૂરી માપણી કરે છે. તેણે આ એપ્સ પ્લે સ્ટોર પર પણ લોન્ચ કરી. જે આજે વિશ્વભરના લોકોને મદદરૂપ બની રહી છે. પ્રાથમિક શાળામાં નિષ્ફળ થયેલા, ક્યારેય હાઇસ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં ન ગયેલા અને અંગ્રેજી ભાષા ક્યારેય ન શીખેલા એક ગુજરાતી યુવાને ભાષાઓ શીખી, મોટી ટીમ સંભાળી, આધુનિક મશીનો ચલાવ્યા અને વિશ્વભરમાં ઉપયોગ થતી ડિજિટલ એપ્સ બનાવી. જે સાબિત કરે છે કે ગુજરાતી ક્યાંય અટકતો નથી. પ્લે સ્ટોર પર લોન્ચ થયા પછીના માત્ર 5 અઠવાડિયામાં વોર્ડ્રોપ એપને 1.12 હજાર ડાઉનલોડ મળ્યા છે. દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
મોરબીમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ-દુષ્કર્મ:આરોપી સંજય સુરેલાની ધરપકડ, પોલીસે કાર્યવાહી કરી
મોરબી શહેરી વિસ્તારમાં એક માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગંભીર ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના એક પરિવારની સગીર વયની દીકરી માનસિક રીતે અસ્વસ્થ છે. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને એક શખ્સે ટીંબડી નજીકથી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ઘેટીયા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સંજય મનજીભાઈ સુરેલા (ઉંમર ૩૨, રહે. હાલ રાજ હોટલ પાસે, ટીંબડી, મૂળ રહે. જીંજુડા, મોરબી) ની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાતમાં ભાજપના 'કિંગ મેકર' અને ચૂંટણી વ્યૂહરચનાના 'ચાણક્ય' ગણાતા અશોક ધોરાજીયા આ વખતે પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. છેલ્લા 42 વર્ષથી ભાજપમાં નિષ્ઠાવાન કાર્યકર તરીકે અનેક નેતાઓને ચૂંટણી જીતાડવામાં પાયાની ભૂમિકા ભજવનાર ધોરાજીયા આ વર્ષે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 2 ના ભાજપના ચારેય ઉમેદવારોએ ગાયત્રી મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. અશોક ધોરાજીયાએ પોતાના સમર્થકો સાથે બંદર રોડ, રાયચંદ રોડ અને ફોક્સી ચાલ જેવા વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરી મતદારોનો સંપર્ક સાધ્યો હતો. પ્રચાર દરમિયાન તેમણે સ્થાનિક બાળકો સાથે ક્રિકેટ રમીને પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વોર્ડ નંબર 2 માં લાંબા સમયથી રસ્તા, ગટર અને પીવાના પાણીની સમસ્યાઓ પ્રવર્તી રહી છે. ભાજપના ઉમેદવારો જ્યારે મતો માંગવા નીકળ્યા છે ત્યારે જનતાની આ પાયાની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું આશ્વાસન તેમના માટે સૌથી મોટો પડકાર બની રહેશે. પ્રચાર દરમિયાન અશોક ધોરાજીયાએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ પોતાના કાર્યકરોને સાચવી શકતો નથી. તેમણે કહ્યું કે, જેમ ગુનેગારોને જેલમાં પૂરવા પડે તેમ તેમણે પોતાના જ માણસોને રિસોર્ટમાં પૂરવા પડ્યા છે. જે પક્ષ પોતાનો પરિવાર નથી સાચવી શકતો તે જનતાને શું સાચવશે? ઉલ્લેખનીય છે કે અશોક ધોરાજીયાએ છેલ્લા ચાર દાયકાથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નિરીક્ષક અને કન્વીનર તરીકે પક્ષ માટે પાયાનું કામ કર્યું છે. સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા આ નેતા પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે આ 'ચાણક્ય' પોતાની બેઠક કેવી રીતે અંકે કરે છે તેના પર સૌની નજર રહેશે.
જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કુલ 2137 EVM મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા કડક સુરક્ષા વ્યવસ્થા અને રેન્ડમાઇઝેશન પદ્ધતિથી હાથ ધરવામાં આવી હતી. ફાળવવામાં આવેલા EVM પૈકી, જામનગર મહાનગરપાલિકા માટે 747, જામનગર જિલ્લા પંચાયત માટે 808, જામનગર તાલુકા પંચાયત માટે 824 અને સિક્કા નગરપાલિકા માટે 31 EVMનો સમાવેશ થાય છે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં 4,42,829 મતદારો માટે 414 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો મતદાન કરશે. સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 22 મતદાન મથકો પર 19,409 મતદારો નોંધાયા છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન મથકો પર આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે. EVM ફાળવણી પ્રક્રિયા દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક સહિત ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લીંબડીમાં 'SVEEP' અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન:રંગોળી અને સ્લોગન દ્વારા અનોખો સંદેશ અપાયો
લીંબડીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને નાગરિકોને મતાધિકાર પ્રત્યે જાગૃત કરવા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત બી.આર.સી. ભવન લીંબડી દ્વારા તાલુકા કક્ષાના 'સ્વીપ' (SVEEP) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે યોજાયો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એક વિશાળ અને આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જે દ્વારા મતદાનનું મહત્વ કલાત્મક રીતે સમજાવવામાં આવ્યું હતું. બી.આર.સી. ભવનની ટીમે સ્ટેચ્યુ પરિસરમાં મતદાન અવશ્ય કરો અને અમારો મત, અમારો અધિકાર જેવા મતદાર જાગૃતિના સ્લોગન પણ લખ્યા હતા. આ સૂત્રો દ્વારા નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ યોજાયેલા આ કાર્યક્રમે સ્થાનિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. બી.આર.સી. કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સ્ટાફ અને સ્થાનિક જાગૃત નાગરિકોએ આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોવાથી, બી.આર.સી. ભવન લીંબડી દ્વારા ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં છેવાડાના મતદાર સુધી જાગૃતિ પહોંચાડવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મજબૂત લોકશાહી માટે 'શત પ્રતિશત મતદાન'ના સંકલ્પને સાકાર કરવાનો છે. ઉપસ્થિત સૌએ પોતે મતદાન કરવા અને અન્યોને પણ પ્રેરિત કરવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ના અપક્ષ ઉમેદવાર સુશીલ લીમ્બાચીયાની રેલીની મંજૂરી વહીવટીતંત્ર દ્વારા રદ કરવામાં આવી હતી. સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવાયો હતો. મંજૂરી રદ થયા બાદ, તેમના સમર્થકો અને ખાસ કરીને મહિલાઓએ ડોર-ટુ-ડોર પ્રચાર કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં 44 કોર્પોરેટરો માટે ઉમેદવારો મેદાનમાં છે. આ પ્રચાર દરમિયાન, વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવાર સુશીલ લીમ્બાચીયાએ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી માટે વહીવટીતંત્રની પૂર્વ પરવાનગી લેવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમર્થકો બાઈકો, ઊંટલારીઓ અને રિક્ષાઓ સાથે એકઠા થયા હતા. જોકે, રેલી શરૂ થાય તે પહેલાં જ વહીવટીતંત્ર દ્વારા તેની મંજૂરી રદ કરવામાં આવી. ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ અને સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું હતું. મંજૂરી રદ થવા છતાં, સુશીલ લીમ્બાચીયાના સમર્થકોનો ઉત્સાહ જળવાઈ રહ્યો. રેલીની મનાઈ બાદ, ઉમેદવારની ગેરહાજરીમાં વોર્ડની મહિલાઓ અને કાર્યકરોએ પ્રચારની કમાન સંભાળી હતી. અસંખ્ય બાઈકો, રિક્ષાઓ અને બેનરો સાથે મહિલાઓએ વોર્ડ નંબર 1 માં ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો. અપક્ષ ઉમેદવારના આ પ્રચાર અને જનસમર્થનને કારણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે. વહીવટીતંત્ર દ્વારા છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણય અંગે શહેરમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવાર સુશીલ લીમ્બાચીયાએ આ અવરોધો વચ્ચે પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જામનગર ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે. પક્ષના સમર્પિત અને પાયાના કાર્યકરોએ શહેર સંગઠનની કાર્યપદ્ધતિ અને ટિકિટ ફાળવણી સામે બગાવતનો સૂર છેડ્યો છે. મૂળ ભાજપ'ના નામે લખાયેલા એક વિગતવાર પત્રમાં શહેર સંગઠન પર ગંભીર આક્ષેપો કરી, તેની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ઉચ્ચ નેતાઓને મોકલવામાં આવી છે. વિચારધારાની 'હત્યા' અને આયાતી ઉમેદવારોનો દબદબોનારાજ કાર્યકર્તાઓનો મુખ્ય આક્ષેપ છે કે જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે જાહેર કરાયેલા 56 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો મૂળ ભાજપના નથી આ વિશ્લેષણ મુજબ: પત્રમાં જણાવાયું છે કે જે કોંગ્રેસની ગુંડાગીરી સામે કાર્યકરો આજીવન લડ્યા, આજે તેમના જ પાપ ધોવા માટે અને તેમના ઝંડા ઉઠાવવા માટે મૂળ કાર્યકરોને આદેશ અપાઈ રહ્યા છે, જે 'વિચારધારાની હત્યા' સમાન છે. નિયમો માત્ર વફાદારો માટે? 'નવો પરિવારવાદ' ઊભો થયોકાર્યકરોએ પક્ષમાં ચાલી રહેલા બેવડા ધોરણો સામે પણ સવાલ ઉઠાવ્યા છે. પત્રમાં આક્ષેપ છે કે પક્ષના વરિષ્ઠ અને વફાદાર કાર્યકર્તાઓને 'ઉંમર અને ટર્મની મર્યાદા' જેવા નિયમો બતાવીને ઘરે બેસાડી દેવાયા છે. બીજી તરફ, અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓના ભત્રીજાઓ અને સગા-સંબંધીઓને ટિકિટ આપીને પક્ષમાં 'નવો પરિવારવાદ' ઉભો કરવામાં આવ્યો છે. શહેર સંગઠન પર ગંભીર આક્ષેપોસંગઠનની વર્તમાન સ્થિતિને કાર્યકરોએ 'ખાનગી પેઢી' સાથે સરખાવી છે. શહેર પ્રમુખ અને તેમની ટીમ પર આકરા પ્રહારો કરતા જણાવાયું છે કે સંગઠનમાં નિષ્ઠાવાન કાર્યકરોને બદલે કોર્પોરેશનના મોટા કોન્ટ્રાક્ટરો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોનો પ્રભાવ વધી ગયો છે. શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા કોર્પોરેશનના સિક્યુરિટી કોન્ટ્રાક્ટર છે. અન્ય એક મહામંત્રી મૃગેશ દવે પર 'બોગસ તબીબ' તરીકે પ્રેક્ટિસ કરવાના ગંભીર આક્ષેપો અને ભૂતકાળમાં સસ્પેન્શનની કાર્યવાહી થઈ હોવાનો ઉલ્લેખ છે.ભાવેશ ઠુમ્મર સામે અગાઉ ખોટું આધારકાર્ડ રજૂ કરવાના મામલે શિસ્તભંગના પગલાં લેવાયા હોવા છતાં તેમને જવાબદારી સોંપાઈ છે. ચૂંટણી જીતવા 'આયાતી' ચહેરાઓનો સહારોપત્રમાં વોર્ડ વાઈઝ આયાતી ઉમેદવારોના નામ સાથેની યાદી બિડાણ તરીકે જોડી છે. જેમાં મૌન તોડવું એ પક્ષ પ્રત્યેની વફાદારીનારાજ જૂથે ચેતવણી આપી છે કે જો સંગઠનમાં તાત્કાલિક ધરખમ ફેરફાર કરવામાં નહીં આવે અને આ 'ભ્રષ્ટ' સંગઠનનું વિસર્જન નહીં કરાય, તો પાયાના કાર્યકરો નિષ્ક્રિય થઈ જશે. પત્રના અંતે લખ્યું છે કે, અમે પક્ષના શિસ્તબદ્ધ સૈનિક છીએ એટલે અત્યાર સુધી મૌન રહ્યા, પણ હવે મૌન રહીશું તો એ પક્ષ પ્રત્યેની ગદ્દારી ગણાશે. આ મામલે હવે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ શું પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાણી છે.
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના મામલે જામીન મેળવવા માટે એક પ્રોફેસરે કરેલી અરજી હાઇકોર્ટે રદ કરી છે. આરોપી કોલેજનો પ્રોફેસર છે અને તેના પર જાતીય સતામણી અને વોટ્સએપ પર અયોગ્ય સંદેશા મોકલવા અને વિદ્યાર્થીની જોડેથી અયોગ્ય જાતીય માંગણી કરવાના આક્ષેપ છે. પીડિતા પાસેથી જાતીય માંગણીઓ કરવાનો આરોપહાઇકોર્ટે આદેશમાં રેકોર્ડ પરના દસ્તાવેજો તેમજ કલમ 183 હેઠળ પીડિતાના નિવેદન સહિત ચાર્જશીટનો ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે કોર્ટ જામીન આપવા માટે તૈયાર નથી. કેમ કે આ ગુનો ખૂબ જ ગંભીર છે. અરજદાર જે કોલેજમાં પ્રોફેસર છે, તેના પર પીડિતા પાસેથી જાતીય માંગણીઓ કરવાનો આરોપ છે. આરોપોને પ્રથમ દૃષ્ટિએ ચાર્જશીટના પેપર્સમાં સમર્થન મળે છે. ખાસ કરીને અરજદાર દ્વારા તેની ધરપકડના એક દિવસ પહેલા એટલે કે 25 નવેમ્બર, 2025 ના રોજ કોલેજના આચાર્યને સંબોધીને માફીપત્ર વાંચ્યો હતો. આ પત્રમાં અરજદારે તેના અયોગ્ય વર્તન અને પીડિત સહિત વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વાતચીત માટે માફી માંગી હતી. અરજદાર પીડિતાને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરતોહાઇકોર્ટે નોંધ્યું હતું કે, રેકોર્ડ પર મુકવામાં આવેલી ચેટ્સની નકલ સ્પષ્ટપણે દર્શાવે છે કે હાલના અરજદાર દ્વારા પીડિતાને અયોગ્ય માંગણીઓ કરવામાં આવી છે. એવું લાગે છે કે અરજદાર પીડિતાને તેની ચેમ્બરમાં આવવા દબાણ કરી રહ્યો હતો અને પીડિતાને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો. એવું પણ જણાય છે કે અરજદાર બીજા વિદ્યાર્થીનીને તેની ચેમ્બરમાં આવવા દબાણ કરી રહ્યો હતો જ્યાં વોટ્સએપ ચેટ્સ દર્શાવે છે કે અરજદાર દ્વારા કરવામાં આવેલા વોઇસ કોલ પછી સંબંધિત વિદ્યાર્થીનીએ તેનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. પીડિતાને અયોગ્ય રીતે સ્પર્શ પણ કર્યો હતોહાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ કોર્ટે BNSS ની કલમ 183 હેઠળ પીડિતાના નિવેદનનો પણ અભ્યાસ કર્યો છે અને એવું લાગે છે કે પીડિતા સ્પષ્ટપણે તેના એ નિવેદન પર અડગ છે, જે મૂળ તપાસ અધિકારી સમક્ષ નોંધવામાં આવ્યું હતું. કારણ કે, હાલના અરજદારે પીડિતા પાસેથી જાતીય તરફેણની માંગ કરી હતી અને તેણે પીડિતાને અયોગ્ય રીતે સ્પર્શ પણ કર્યો હતો. ફરિયાદીના નિવેદનનો અભ્યાસ કરતા પ્રથમ દૃષ્ટિએ, એવું લાગતું નથી કે ફરિયાદી સંપૂર્ણપણે હોસ્ટાઇલ થઈ ગઈ છે.
વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વેરાવળમાં ભાજપ સામે અસંતોષનો ચરુ હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. પહેલા સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજ પણ ખુલ્લેઆમ ભાજપ સામે બંડ પોકારી રહ્યો છે, જેના કારણે રાજકીય સમીકરણોમાં ભારે હલચલ સર્જાઈ છે. સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ટીકીટ ફાળવણીમાં સમાજની અવગણના થતા આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું. મળતી માહિતી મુજબ, વેરાવળ પાલિકામાં દર વખતે વોર્ડ નંબર 1 અને 8માં પ્રજાપતિ સમાજને પ્રતિનિધિત્વ મળતું હતું, પરંતુ આ વખતે માત્ર વોર્ડ નંબર 1માં જ ટીકીટ ફાળવાતા વોર્ડ નંબર 8માં ટીકીટ કપાતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેરાવળ, પાટણ અને ભાલકા વિસ્તારના સમાજના હોદેદારોની બેઠકમાં ભાજપના “અન્યાય”નો જડબાતોડ જવાબ આપવાનો સંકલ્પ લેવાયો હતો. સમાજના અગ્રણીઓ—પ્રમુખ મનીષ વિસાવડીયા, ઉપપ્રમુખ શરદ ટાંક, સોમનાથ પ્રજાપતિ સમાજના પ્રમુખ વિજય દેવળીયા અને યુવા અગ્રણી જીગ્નેશ ટાંક સહિતના આગેવાનો દ્વારા ભાજપ સામે કડક નિવેદનો આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ભાજપે અમારા સમાજની અવગણના કરી છે. આ અન્યાયનો જવાબ હવે મતદાનમાં આપવામાં આવશે અને સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.” ઉલ્લેખનીય છે કે, વેરાવળ-સોમનાથ વિસ્તારમાં પ્રજાપતિ સમાજના અંદાજે 4 હજારથી વધુ મતદારો છે, જે ચૂંટણીમાં મહત્વપૂર્ણ ફેક્ટર બની શકે છે. આગળ સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજના ખુલ્લા વિરોધને કારણે ભાજપ માટે આવનારી ચૂંટણીમાં પડકારો વધ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો સમયસર ડેમેજ કન્ટ્રોલ નહીં કરવામાં આવે તો ભાજપને આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં મોટો ઝટકો લાગી શકે છે. બીજી તરફ, આ સમગ્ર વિવાદ પાછળ જિલ્લા ભાજપના કેટલાક હોદેદારોની અંગત રાજનીતિ અને સ્વાર્થ જવાબદાર હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે, જેના કારણે પાર્ટી માટે આંતરિક વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવું રહ્યું કે ભાજપ આ અસંતોષને કઈ રીતે શાંત કરે છે કે પછી આ બળવો ચૂંટણી પરિણામોમાં મોટો ફેરફાર લાવે છે.
આગામી 26મી એપ્રિલે યોજાનારી પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષી ઉમેદવારોને તોડવા અને ડરાવવા માટે ધાક-ધમકી તેમજ નાણાકીય લાલચ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહિલા ઉમેદવારનો ખુલ્લો પડકાર: હું પૈસાને ધિક્કારું છુંવોર્ડ નંબર ૩ ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર મયુરીબેન થાનકીએ એક વીડિયો સંદેશ દ્વારા સત્તાધારી પક્ષના નેતાઓ સામે મોરચો માંડ્યો છે. તેમણે જણાવ્યું કે, “ચૂંટણી મેદાનમાંથી ખસી જવા માટે મને વિવિધ નંબરો પરથી ફોન કરી મોટી રકમની લાલચ આપવામાં આવી રહી છે. જો તમારામાં જનતા વચ્ચે જઈને મત માંગવાની તાકાત નથી, તો અમને ધમકાવવાનું બંધ કરો. હું કોઈપણ લાલચ કે દબાણને વશ થયા વગર જનતાના કામ કરવા માટે મેદાનમાં અડીખમ છું.” આમ આદમી પાર્ટીના આકરા પ્રહારબીજી તરફ, આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. AAP નેતાઓનું કહેવું છે કે સત્તા પક્ષના કેબિનેટ મંત્રીઓ અને નેતાઓ સામાન્ય ઉમેદવારોના ઘરે જઈને તેમને ફોર્મ ખેંચવા દબાણ કરી રહ્યા છે. જે ઉમેદવારો નમતા નથી, તેમને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અથવા તેમના ધંધા-રોજગારમાં હેરાન કરવાની ધમકી અપાય છે. AAP નો દાવો છે કે સત્તા પક્ષને જનતાનો અને AAP ના વધતા વર્ચસ્વનો ડર લાગી રહ્યો છે, જેના કારણે તેઓ લોકશાહીની મર્યાદા ઓળંગી રહ્યા છે. જનતામાં ચર્ચા અને આક્રોશચૂંટણી પહેલા જે પ્રકારે ઉમેદવારોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેને પગલે શહેરના મતદારોમાં પણ ભારે ચર્ચા જાગી છે. બ્રહ્મ સમાજ સહિતના વિવિધ સંગઠનોમાં ટિકિટ ફાળવણી અને ઉમેદવારો પરના દબાણને લઈને રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષોએ ચેતવણી આપી છે કે જો આ પ્રકારે અનૈતિક દબાણ ચાલુ રહેશે, તો તેઓ ચૂંટણી પંચમાં ઉગ્ર રજૂઆત કરશે. પોરબંદરની જનતા હવે આગામી દિવસોમાં આ રાજકીય ખેંચતાણનો કેવો જવાબ આપે છે, તે જોવું રસપ્રદ રહેશે.
ગોધરાના બહુચર્ચિત રાયોટિંગ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી ઝાકીર ઝભ્ભાને સાથે રાખી પોલીસે તેના નિવાસસ્થાને મોબાઈલ ફોન શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, મહત્વનો પુરાવો ગણાતો મોબાઈલ ફોન પોલીસને મળ્યો નથી. ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા આ કેસમાં, પોલીસે ઝાકીર ઝભ્ભાને કડક સુરક્ષા વચ્ચે પોલીસ સ્ટેશનથી ગોધરાના વાલી ફળિયા નં. ૩ સુધી પગપાળા લઈ જઈને તપાસ કરી હતી. પોલીસની આ કાર્યવાહી જોવા માટે સ્થાનિકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઝાકીર ઝભ્ભા હાલ દસ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી સઘન પૂછપરછમાં ઝાકીરે કબૂલાત કરી હતી કે તેનો મોબાઈલ ફોન તેના ઘરે જ છે. આ નિવેદનના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે આરોપીને સાથે રાખીને તેના નિવાસસ્થાને પંચોની હાજરીમાં વિગતવાર 'ઝડતી પંચનામું' કર્યું હતું. તપાસ બાદ પણ આરોપીના ઘરેથી તેનો મોબાઈલ ફોન મળી આવ્યો નથી. બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડના બાકીના દિવસોમાં અન્ય કયા મોટા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.
દેશમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા સ્માર્ટ મીટરના અમલીકરણ માટે નવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ, હવે દેશના તમામ વીજ ગ્રાહકોના ઘરે તબક્કાવાર પરંપરાગત મીટર હટાવીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ ફેરફાર માત્ર ટેકનિકલ નથી, પરંતુ ગ્રાહકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટેનો એક મોટો પ્રયાસ છે. ખાસ વાત એ છે કે, સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકે પૈસા પહેલા ભરવા (Prepaid) કે વપરાશ કર્યા પછી (Postpaid), તેનો નિર્ણય લેવાની સત્તા ગ્રાહકને સોંપવામાં આવી છે. જૂના મીટરોનું સ્થાન લેશે સ્માર્ટ ટેક્નોલોજીCEAના રિપોર્ટ અનુસાર, હાલના પરંપરાગત મીટરોને આધુનિક કોમ્યુનિકેશન સુવિધાવાળા સ્માર્ટ મીટર સાથે રિપ્લેસ કરવામાં આવશે. આ મીટરો માત્ર રીડિંગ જ નહીં લે, પરંતુ વીજ કંપની અને ગ્રાહક વચ્ચે ટુ-વે કોમ્યુનિકેશન સ્થાપિત કરશે. તેનાથી વીજ વપરાશ પર સચોટ નજર રાખી શકાશે અને બિલિંગમાં થતી ભૂલો કે, માનવીય હસ્તક્ષેપને કારણે થતી ફરિયાદોનો અંત આવશે. ગ્રાહકોને મોબાઈલ એપ દ્વારા રિયલ-ટાઈમ ડેટા મળશે, જેનાથી તેઓ જાણી શકશે કે કયા સમયે કેટલો વીજ વપરાશ થઈ રહ્યો છે. 46 લાખથી વધુ સ્માર્ટ મીટર કાર્યરતસ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર રહ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 46 લાખથી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિજ કંપની (DGVCL) ના કાર્યક્ષેત્રમાં આવતા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 12 લાખ જેટલા મીટર લાગી ચૂક્યા છે. જો ઔદ્યોગિક હબ સુરતની વાત કરીએ તો, સુરત શહેર અને જિલ્લામાં જ 6 લાખથી વધુ સ્માર્ટ મીટર ગ્રાહકોના ઘરે ધબકી રહ્યા છે. આ આંકડો સૂચવે છે કે ગુજરાત ઝડપથી ડિજિટલ પાવર ગ્રીડ તરફ વધી રહ્યું છે. ગ્રાહકોની પસંદગી સર્વોપરી, મનોહર લાલ ખટ્ટરની સ્પષ્ટતાસ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં રહેલી મુંઝવણ દૂર કરતા કેન્દ્રિય ઊર્જા પ્રધાન મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી ગ્રાહકોની સુવિધા માટે છે, દબાણ માટે નહીં. નવી ગાઈડલાઈન મુજબ, સ્માર્ટ મીટર લાગ્યા પછી બિલિંગ પ્રક્રિયા કેવી રાખવી તે ગ્રાહક પોતે પસંદ કરશે. જો કોઈને પ્રીપેડ સિસ્ટમ પસંદ ન હોય, તો તે પોસ્ટપેડ સુવિધા ચાલુ રાખી શકશે. આ નિર્ણયથી વીજ કંપનીઓની મનસ્વીતા પર રોક લાગશે અને ગ્રાહકોને લોકશાહી ઢબે સેવાનો લાભ મળશે. બપોરના સમયે વીજ વપરાશ પર 60 પૈસાની મોટી રાહતગુજરાતના વીજ ગ્રાહકો માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા એક આકર્ષક પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું છે. નવી વ્યવસ્થા હેઠળ, સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે વીજ વપરાશ થશે, તેના પર પ્રતિ યુનિટ 60 પૈસાની સીધી છૂટ આપવામાં આવશે. આ 'ટાઈમ ઓફ ડે' ટેરિફનો હેતુ દિવસ દરમિયાન સોલર પાવરના મહત્તમ વપરાશને પ્રોત્સાહન આપવાનો અને ગ્રાહકોના બિલમાં ઘટાડો કરવાનો છે. પ્રીપેડ વિકલ્પ પસંદ કરનારને 3% વધારાનું વળતર મળશેજો કોઈ ગ્રાહક સ્માર્ટ મીટરમાં પ્રીપેડ મોડ એટલે કે 'પહેલા રિચાર્જ અને પછી વપરાશ'નો વિકલ્પ પસંદ કરે છે, તો તેને આર્થિક ફાયદો થશે. સરકારની યોજના મુજબ, પ્રીપેડ ગ્રાહકોને તેમના એનર્જી ચાર્જ પર 3% સુધીની વધારાની છૂટ આપવામાં આવશે. આ વ્યવસ્થાથી જે લોકો નિયમિત વીજ વપરાશનું બજેટ બનાવીને ચાલે છે, તેમને વાર્ષિક ધોરણે મોટી બચત થઈ શકે છે. વીજ કંપનીઓ હાલમાં આ ડિસ્કાઉન્ટ સિસ્ટમને સોફ્ટવેરમાં અપડેટ કરવાની કામગીરી કરી રહી છે. વીજ વિતરણ વ્યવસ્થામાં સ્માર્ટ મીટર કેમ અનિવાર્ય?નિષ્ણાતોના મતે, સ્માર્ટ મીટર એ ભવિષ્યની જરૂરિયાત છે. તેનાથી વીજ ચોરી અટકાવવામાં મદદ મળશે અને ગ્રીડ પર આવતા લોડનું મેનેજમેન્ટ સરળ બનશે. ઘણીવાર ગ્રાહકોને એવી ફરિયાદ હોય છે કે બિલમાં ભૂલ છે, પરંતુ સ્માર્ટ મીટરના ડેટા રિઅલ-ટાઇમ હોવાથી વિવાદની શક્યતા નહિવત રહેશે. વીજ કંપનીઓને મીટર રીડિંગ લેવા માટે ઘરે-ઘરે જવાની જરૂર નહીં પડે, જેનાથી ઓપરેશનલ ખર્ચ ઘટશે અને લાંબે ગાળે આ ફાયદો સસ્તા વીજ દર તરીકે ગ્રાહકોને જ મળશે.
ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ના પાંચમા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 562 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરાયા હતા. સાયબર સુરક્ષા અને ડિજિટલ ટ્રસ્ટ પર ભારરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરક્ષાના બદલાતા પરિપ્રેક્ષ્યમાં જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં સુરક્ષા માત્ર ભૌતિક સીમાઓ પૂરતી સીમિત નથી. તેમણે સાયબર સુરક્ષા અને ડેટા પ્રોટેક્શનને ‘ડિજિટલ વિશ્વાસ’નો આધાર ગણાવતા કહ્યું કે, દેશને સાયબર ગુનાઓ સામે લડવા ટેકનિકલી સજ્જ પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની તાતી જરૂર છે. આ સાથે તેમણે સુરક્ષા સાધનોના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. સુરક્ષામાં ‘સિલ્વર મેડલ’નું સ્થાન નથી: અજીત ડોવાલમાનદ ડોક્ટરેટ સ્વીકારતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે યુવાનોને માર્મિક સંદેશ આપતા કહ્યું કે, સુરક્ષાના ક્ષેત્રમાં ‘સિલ્વર મેડલ’ જેવું કંઈ હોતું નથી—અહીં માત્ર જીત કે હાર જ હોય છે. તેમણે સુરક્ષા માટે દેશના મનોબળ અને જનજાગૃતિને ટેકનોલોજી જેટલા જ અનિવાર્ય ગણાવ્યા હતા. રાષ્ટ્ર નિર્માણ અને યુવા શક્તિરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રીના વિઝનથી સ્થાપિત આ યુનિવર્સિટીના મહત્વને બિરદાવ્યું હતું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યને સાકાર કરવા આહવાન કર્યું હતું. સમારોહમાં ખાસ કરીને એન્જિનિયરિંગ અને સુરક્ષા ક્ષેત્રે દીકરીઓની સિદ્ધિઓને વિશેષરૂપે બિરદાવવામાં આવી હતી. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિએ રુદ્રાક્ષના છોડનું વાવેતર કર્યું હતું અને મહાત્મા ગાંધી તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ રાષ્ટ્રીય સુરક્ષા, ટેકનોલોજી અને આત્મનિર્ભરતાના સમન્વયનું પ્રતીક બની રહ્યો.
બાલાસિનોર ડમ્પિંગ સાઇટ પર આગ ભભૂકી:આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકાની વેસ્ટ કચરાના નિકાલ માટેની ડમ્પિંગ સાઇટ પર અચાનક આગ લાગી છે. આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બાલાસિનોર નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. આગનું સ્વરૂપ વધુ ગંભીર બનતા લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આકસ્મિક આગની ઘટનાને પગલે નગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ પરિસ્થિતિ પર નજર રાખી હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.
રાજકોટનાં 52 વર્ષીય મીનાબેન ચોઈથરામ ખટ્ટર તા. 20 માર્ચના રોજ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રે 9 વાગ્યા આસપાસ કેરોસીન છાંટીને પોતાની જાતે આગ લગાવી દીધી હતી જેના કારણે તેઓ શરીરે ગંભીર રીતે દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે 25 દિવસની લાંબી સારવાર બાદ આજે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મીનાબેનના પતિ હેમગઢવી હોલ પાસે દાળ-પકવાનની રેંકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવના દિવસે ચેટીચાંદનો તહેવાર હોવાથી મીનાબેને તેમના પતિ પાસે રામનાથપરામાં આવેલા ઝૂલેલાલ મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, પતિએ મીનાબેનને સાથે લઈ જવાને બદલે જણાવ્યું હતું કે, હું બાળકોને લઈને જઈશ, તારે આવવું નથી. પતિના આ જવાબથી મીનાબેનને લાગી આવ્યું હતું અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મીનાબેને બાથરૂમમાં જઈ પગલું ભર્યું હતું. મીનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજકોટમાં અકસ્માતે ઘવાયેલ જેતપુરના વિજય મેરણનું મોત વિજય કાળુભાઈ મેરણ (ઉં.વ.38) તા.12.04.2026ના રોજ સાંજે 7 વાગ્યાં આસપાસ બાઈક લઈને મવડી કણકોટ રોડ પર જતા ત્યારે ડ્રિમ સિટી ચોકમાં પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લીધું હતું જેમાં બાઈક ચાલક વિજયભાઈને ગંભીર ઈજા પહોંચી હતી આ સમયે વિજયભાઈની ઓળખ થઈ ન હતી અને 108 મારફત તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પછી તેમના પરિવારજનોનો સંપર્ક થતા તે જેતપુર ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. આજે સવારે 5.30 વાગ્યા આસપાસ વિજયભાઈએ સારવારમાં દમ તોડી દીધો હતો. વિજયભાઈને સંતાનમાં એક 20 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો છે. પોતે 2 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેઓ રાજકોટના મવડીમાં આવેલ માર્વેલ મોલમાં નોકરી કરતા હતા. વિજયભાઈના અકાળે મોતથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા અરવલ્લી જિલ્લાનું પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શામળાજી નજીક આવેલી અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોનું રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણીના માહોલ દરમિયાન પરપ્રાંતમાંથી વિદેશી દારૂ અને અન્ય માદક દ્રવ્યો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસો થતા હોય છે. આવા ગેરકાયદેસર પદાર્થો રાજ્યમાં પ્રવેશી ન શકે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા આ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલી અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા તરફથી હજારો વાહનો પસાર થાય છે. બુટલેગરો વિવિધ યુક્તિઓ અજમાવીને દારૂ સહિતના નશીલા પદાર્થો ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે. આથી, ચેકપોસ્ટ પર આવતા-જતા નાના-મોટા તમામ વાહનોને રોકીને કડકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અરવલ્લી પોલીસ તંત્ર તમામ સરહદી વિસ્તારો પર સતર્ક બન્યું છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાની દુદાખા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હમીર રાયસંગ ઠાકોરને ACBએ 70,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. 14 એપ્રિલ, 2026ના રોજ શંખેશ્વર ખાતેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા હોવાથી તેમને પુરણ કામ માટે માટીની જરૂરિયાત હતી. આ માટે તેમણે દુદાખા ગ્રામ પંચાયતના તલાટી હમીર ઠાકોરનો સંપર્ક કર્યો હતો. તલાટીએ તળાવમાંથી માટી લઈ જવા માટે જરૂરી પંચાયતનો ઠરાવ કરી આપવા બદલ 70,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, એ.સી.બી.એ શંખેશ્વરના રાધે શોપિંગ આર્કેડ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન, આરોપી તલાટીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 70,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પરથી ઝડપી લીધા હતા. એ.સી.બી.એ લાંચની તમામ રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કાર્યવાહી પાટણ એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી અને તેમની ટીમ દ્વારા મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ તથા નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
ગોધરા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગાંધી બહેરા-મુંગા વિદ્યાલય ખાતે પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અને પરિવેશ સામાયિકના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. પરિસંવાદનો મુખ્ય વિષય “મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકર: ગઈકાલ, આજ અને આવતીકાલ” હતો. આ પરિસંવાદમાં ડૉ. આંબેડકરના જીવન અને કાર્યના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આંબેડકરી આંદોલનોનો ઇતિહાસ, બંધારણ નિર્માણમાં તેમનું યોગદાન, મહિલાઓના મુક્તિદાતા તરીકેની તેમની ભૂમિકા, આદિવાસી સમાજના વિકાસમાં તેમનું યોગદાન અને વિદ્યાપુરુષ તરીકેના તેમના વ્યક્તિત્વ પર સંશોધનપત્રો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં અનેક વિદ્વાનો અને સંશોધકોએ ભાગ લીધો હતો. તેમણે ડૉ. આંબેડકરના વિચારોને વધુ ઊંડાણપૂર્વક સમજવાની તક મેળવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર, આ પરિસંવાદનો મુખ્ય હેતુ નવી પેઢીને ડૉ. આંબેડકરના વિચારોથી પ્રેરિત કરવાનો અને સમાજમાં સમાનતા તથા ન્યાયના મૂલ્યોને મજબૂત બનાવવાનો છે.
ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ખર્ચ પર નિયંત્રણ લાવવા કડક પગલાં લીધા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ 26 એપ્રિલ, 2026ના રોજ યોજાવાની છે. આ ચૂંટણીઓમાં ઉમેદવારોના ખર્ચ પર અંકુશ લાવવા માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજી વિગતવાર રેટ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણીમાં થતા બિનજરૂરી ખર્ચ અને મતદારોને પ્રભાવિત કરવાની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો છે. તંત્ર દ્વારા આ પગલાંને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. જાહેર કરાયેલા રેટ ચાર્ટ મુજબ, ભોજન વ્યવસ્થા માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. મીઠાઈ અને ફરસાણ વગરની ભોજનની થાળીનો દર 120 રૂપિયા જ્યારે મીઠાઈ-ફરસાણ સાથેની થાળીનો દર 150 રૂપિયા નક્કી કરાયો છે. આ ઉપરાંત, ચા માટે 15 રૂપિયા, કોફી માટે 20 રૂપિયા અને ઠંડા પીણા માટે 20 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. નાસ્તાની એક ડિશ માટે 50 રૂપિયા અને નાળિયેર પાણી માટે 55 રૂપિયાનો દર નિર્ધારિત કરાયો છે. ચૂંટણી પ્રચારમાં વધતા ડિજિટલ માધ્યમોના ઉપયોગને ધ્યાનમાં રાખીને, ફોટોગ્રાફી માટે પ્રતિ કલાક 900 રૂપિયા અને વિડીયોગ્રાફી માટે પ્રતિ કલાક 1500 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. આ ખર્ચ મર્યાદા ઉપરાંત, વાહન વ્યવહાર અને અન્ય ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, નક્કી કરેલા ધોરણો બહારનો કોઈપણ ખર્ચ આચાર સંહિતાના ભંગ તરીકે ગણવામાં આવશે. તંત્રનો ઉદ્દેશ્ય ચૂંટણીને ખર્ચાળ સ્પર્ધાને બદલે નીતિ આધારિત લોકશાહી પ્રક્રિયા બનાવવાનો છે. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આચાર સંહિતાનું સંપૂર્ણ પાલન કરવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા કડક સૂચના આપવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની અનિયમિતતા કે નિયમભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિત માર્ગ-મકાન વિભાગ, શિક્ષણ વિભાગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ ખર્ચ અને નિયમોની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ચૂંટણી પહેલા જ ખર્ચ પર કાબૂ લાવવા માટે તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાંથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. આ કાર્યવાહીથી ચૂંટણીમાં નાણાંનો પ્રભાવ ઘટશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રાજકોટ શહેર માટે આ વર્ષે ઉનાળો આકરો હોવા છતાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી વરદાન સાબિત થયેલી 'સૌની' યોજનાને કારણે શહેરના મુખ્ય જળસ્ત્રોતો એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા હાલ જળસંકટના વાદળો વિખેરાઈ ગયા છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચોમાસા સુધી ચાલે તેટલો પર્યાપ્ત જળજથ્થો હાલ ઉપલબ્ધ છે. તાજેતરમાં જ આજી-1 ડેમને નર્મદાના નીરથી 100 ટકા ભરી દીધા બાદ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. ન્યારી-1 ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ રાખવામાં આવી હતી. જોકે 25 ફૂટે છલકાતા ન્યારી-1 ડેમની સપાટી હાલ 23 ફૂટ સુધી પહોંચી ગઈ છે, એટલે કે આ જળાશય 80 ટકા જેટલું ભરાઈ ગયું હોવાથી ત્યાં પણ નર્મદાના નીરની આવક હાલ બંધ કરાઈ છે. વર્તમાન સ્થિતિએ આજી-1 ડેમમાં 90 ટકાથી વધુ અને ન્યારી-1માં 80 ટકા જેટલો જથ્થો છે. આ ઉપરાંત, શહેરની ત્રીજી જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં પણ ચોમાસા સુધી ચાલે તેટલું પીવાનું પાણી ઉપલબ્ધ છે. જો ભવિષ્યમાં જરૂર જણાય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માગ કરવામાં આવશે, તો તુરંત જ 'સૌની' યોજના હેઠળ જળાશયોમાં ફરીથી પાણી ઠાલવવાની તૈયારી રાખવામાં આવી છે. આમ, રાજકોટીયનોને હવે ઉનાળામાં પીવાના પાણી બાબતે કોઈ મુશ્કેલી રહેશે નહીં. જંકશન પ્લોટ વિસ્તારમાં ડ્રેનેજની લાઈન લીકેજ થતા ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોગચાળાનો ફય રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ કર્મભૂમિ એપાર્ટમેન્ટ પાસે છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઈન લીકેજ થવાની સમસ્યા સર્જાઈ છે. આ લીકેજને કારણે માર્ગો પર આખો દિવસ ગંદા પાણી અને ગંદકી ફેલાયેલી રહે છે, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી રહી છે. હાલ ઉનાળાની શરૂઆતમાં જ ગંદકીના કારણે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધતા ભયંકર રોગચાળો ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને દિવસેને દિવસે ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. સામાજિક કાર્યકર્તા યોગેશ માખેચાના જણાવ્યા મુજબ, તંત્રની ઘોર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. એક મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં ડ્રેનેજ લાઈનનું સમારકામ કરવામાં આવ્યું નથી, જે શાસકોની નિષ્ફળતા દર્શાવે છે. જો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરી લાઈન રીપેરીંગ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારમાં ઝાડા-ઊલટી અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. તેમજ સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. રાજકોટની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ગવેજ ટીચીંગને UGC એ સ્વાયત સંસ્થાનો દરજ્જો આપ્યો રાજકોટ સ્થિત પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ગ્વેજ ટીચિંગ (ILT) ને University Grants Commission (યુજીસી) દ્વારા સ્વાયત્ત (Autonomous) દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે. આ દરજ્જો શૈક્ષણિક વર્ષ 2026-27 થી 2030-31 સુધીના 5 વર્ષ માટે માન્ય રહેશે. યુજીસીની દિલ્હીની બેઠકમા સ્ટેન્ડિંગ કમિટીની ભલામણને સ્વીકારીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિદ્ધિ સંસ્થાના આચાર્ય અને અધ્યાપકોના ગુણવત્તાસભર શિક્ષણ, શૈક્ષણિક નવીનતા અને સતત વિકાસ માટેના પ્રયત્નોની માન્યતા છે. સ્વાયત્ત દરજ્જો મળવાથી ILT B.Ed. કોલેજના વિદ્યાર્થીઓને વિશેષ લાભો મળશે. જેમાં અપડેટેડ અભ્યાસક્રમ - NEP 2020 મુજબ નવીન કોર્સિસ 2026 થી અમલમાં આવશે. કૌશલ્ય આધારિત શિક્ષણ - પ્રેકિટકલ, ઇન્ટર્નશિપ અને પ્રોજેકટ આધારિત અભ્યાસ કરાવાશે. કોલેજની પોતાની સ્વતંત્ર પરીક્ષા પદ્ધતિ – સમયસર પરિણામ અને પારદર્શક મૂલ્યાંકન થશે. આ ઉપરાંત મલ્ટી-ડિસિપ્લિનરી અભ્યાસની તક ઊભી થશે. આ સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગની તકો ઊભી થશે. એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ (ABC) નો લાભ મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી વિદ્યાર્થીઓને મળશે. જ્યારે સંસ્થાને થતા લાભોમા સંસ્થા હવે પોતાનો સિલેબસ, પરીક્ષા અને મૂલ્યાંકન પદ્ધતિ સ્વતંત્ર રીતે નક્કી કરી શકશે. નવા ડિપ્લોમા, સર્ટિફિકેટ અને ડિગ્રી પ્રોગ્રામ્સ શરૂ કરવાની તક રહેશે. શોધ અને નવીનતામાં વધારો થશે. NAAC ગ્રેડિંગ અને ગુણવત્તા સુધારણામાં વધુ ગતિ આવશે. NEP 2020 મુજબ મલ્ટિડિસિપ્લિનરી યુનિવર્સિટી બનવાની દિશામાં આગળ વધશે.
અમદાવાદ એસ.ઓ.જી. (SOG) ક્રાઈમ બ્રાન્ચે બાપુનગર વિસ્તારમાં દરોડો પાડી નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ₹500ના દરની 133 નકલી નોટો અને પ્રિન્ટિંગ સામગ્રી સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ કૌભાંડનું મૂળ સુરેન્દ્રનગરના લીંબડી સુધી લંબાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બાતમીના આધારે દરોડો અને મુદ્દામાલની જપ્તીSOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં નકલી નોટો કાપવાની કામગીરી ચાલી રહી છે. આ બાતમીના આધારે દરોડો પાડી પોલીસે ભાવેશ મકવાણા, અનિલ અશ્વાર અને જીતેન્દ્ર પ્રજાપતિને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹500ના દરની 133 નકલી નોટો, પ્રિન્ટ કરેલી નોટોની આખી શીટ્સ, નોટો કાપવા માટેના સાધનો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો છે. દેવું ચૂકવવા બનાવ્યો નકલી નોટોનો પ્લાનપૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મુખ્ય આરોપી અનિલ મોરબીમાં સિરામિકનો વેપાર કરતો હતો. ધંધામાં ₹30 લાખનું દેવું થઈ જતાં તેણે રાતોરાત રૂપિયા કમાવવા માટે પોતાના મિત્રો સાથે મળીને આ ગુનાહિત રસ્તો અપનાવ્યો હતો. ભાવેશે તેની મુલાકાત લીંબડીના રાહુલ ઉર્ફે કાલિયા સાથે કરાવી હતી, જેણે ઝેરોક્ષ મશીન પર આ નોટો પ્રિન્ટ કરી આપી હતી. ફરાર આરોપી રાહુલની શોધખોળઝડપાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં પોલીસ ફરાર આરોપી રાહુલની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી ₹2.5 કરોડની નકલી નોટો ઝડપી હતી, જેનું કનેક્શન છેક ચાઈના સુધી ખૂલ્યું હતું, ત્યારે આ નવી ગેંગની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે અમરેલી જિલ્લાના દામનગરમાં દારૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દારૂ, વાહનો અને રોકડ સહિત કુલ રૂ. 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMC ટીમને આર.કે. કરમટાના નેતૃત્વ હેઠળ દામનગરમાં દારૂનું કટિંગ થવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે લાઠી તાલુકાના દામનગર નજીક આવેલા શ્રી સહજાનંદ ગુરુકુળ પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, 7,686 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત આશરે રૂ. 16.91 લાખ થાય છે. આ ઉપરાંત, પોલીસે રૂ. 40.40 લાખની કિંમતના 4 વાહનો, રૂ. 55,000ની કિંમતના 7 મોબાઈલ ફોન અને રૂ 3,240 રોકડા પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂ 57,89,864નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં કૌશિક કાવો ભરતભાઈ ગોહિલ, વિષ્ણુપરી હિંમતપુરી ગૌસ્વામી, સિકંદર ભાભા કાળુભાઈ પઠાણ, જયેશ જગજીવન જાદવ, હરિહર દીપકભાઈ ભાટ અને સ્વરૂપ ચીટુ દશરથભાઈ ગાવીતનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં દારૂના રીસીવર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે. આ કેસમાં વિરાજ પ્રવીણચંદ્ર રાણા સહિત અન્ય 6 આરોપીઓ હજુ ફરાર છે, જેમાં મુખ્ય સપ્લાયર અને વિવિધ વાહનોના માલિકોનો સમાવેશ થાય છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મનપાની આગામી ચૂંટણી પૂર્વે શહેરના પોશ વિસ્તાર ગણાતા વેશુ-ભરથાણામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વેશુની ખ્યાતનામ આશીર્વાદ વિલા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતા રહીશોએ આ વખતે મક્કમ નિર્ધાર સાથે સોસાયટીની બહાર 'NO VOTE, NO ENTRY' ના બેનરો લગાવી દીધા છે, જેના કારણે પ્રચાર માટે આવતા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પૂર્વ MLA અને ઉમેદવાર હિમાંશુને નારાજગીનો સામનો કરવો પડ્યોચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં નીકળેલા પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલ અને વર્તમાન ઉમેદવાર હિમાંશુ રાહુલજીને આજે આશીર્વાદ વિલામાં ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે વાયદા કરવા આવતા નેતાઓ જીત્યા પછી મોઢું બતાવતા નથી. 'સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી સોસાયટીમાં પગ મૂકવો નહીં'સ્થાનિકોએ નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, જ્યાં સુધી અમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી સોસાયટીમાં પગ મૂકવો નહીં. નેતાઓએ રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલા લોકોએ એકપણ વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. 20 વર્ષથી માત્ર અસુવિધાઓ, ટાઉન પ્લાનિંગના નામે છેતરાયાનો આક્ષેપસોસાયટી દ્વારા લગાવવામાં આવેલા બેનરમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રહીશોનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ એકતરફી મતદાન કરીને શાસક પક્ષને ખોબે-ખોબે મત આપતા આવ્યા છે. જોકે, બદલામાં તેમને માત્ર હાડમારી જ મળી છે. ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમના નામે વર્ષોથી માત્ર અસુવિધાઓ જ ભોગવવી પડી છે. રહીશોએ જણાવ્યું કે, તેમની જીવાદોરી સમાન મુખ્ય રોડ અને ગાર્ડન જેવી પાયાની જરૂરિયાતો રિઝર્વેશનમાંથી છીનવીને અન્યને અલોટ કરી દેવામાં આવી છે, જે સીધો અન્યાય છે. ગેટ પર જે બેનર લગાવવામાં આવ્યા છે તેમાં લખ્યું છે કે, 2500થી વધુ રહીશો દ્વારા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કારઆશીર્વાદ વિલા સોસાયટીમાં અંદાજે 2500થી વધુ રહીશો વસવાટ કરે છે. સોસાયટીના તમામ સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ મતદાન પ્રક્રિયાથી અળગા રહેશે. રહીશોએ જણાવ્યું કે, અમે દર વખતે લોકશાહીના પર્વમાં ભાગ લઈએ છીએ, પરંતુ અમારી પાયાની જરૂરિયાતો પ્રત્યે તંત્ર અને રાજકીય પક્ષો ઉદાસીન છે. જો અમને સુવિધા ન મળતી હોય તો અમારો કિંમતી મત આપવાનો કોઈ અર્થ નથી. આટલી મોટી સંખ્યામાં લોકોના બહિષ્કારથી વોર્ડ નંબર 22 ના ચૂંટણી સમીકરણો બગડી શકે તેમ છે. 'NO VOTE NO ENTRY': નેતાઓ માટે સોસાયટીના દ્વાર બંધસોસાયટીના ગેટ પર જ મોટા અક્ષરે 'NO VOTE NO ENTRY' ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ રાજકીય પક્ષના નેતા કે કાર્યકર્તાએ પ્રચાર માટે સોસાયટીની અંદર પ્રવેશ કરવો નહીં. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દાયકાથી આપવામાં આવતી આનાકાની અને હેરાનગતિથી કંટાળીને આ આખરી પગલું ભરવામાં આવ્યું છે. આ વિરોધ માત્ર એક સોસાયટી પૂરતો મર્યાદિત ન રહેતા આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. તંત્રની ઉદાસીનતા સામે રહીશોનો આક્રોશસ્થાનિકોનો મુખ્ય રોષ સુરત મહાનગરપાલિકા (SMC) સામે પણ છે. રહીશોનું કહેવું છે કે ટેક્સ નિયમિત ભરવા છતાં તેમને રોડ-રસ્તા અને બગીચા જેવી પાયાની સુવિધાઓ માટે આંદોલન કરવું પડે છે. 2007 માં રજીસ્ટર થયેલી આ સોસાયટી આજે 2026 માં પણ પોતાની હકની સુવિધાઓ માટે લડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે 2500 મતદારોનો આ હુંકાર સત્તાધીશોની ઊંઘ ઉડાડે છે કે પછી આ વખતે પણ આશ્વાસનો આપીને મામલો થાળે પાડવામાં આવે છે.
વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી લોખંડની પ્લેટો ચોરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચોરી ખજુરડી ગામ પાસે થઈ હતી. પોલીસે તેમની પાસેથી બોલેરો કેમ્પર ગાડી સહિત કુલ રૂ. 6.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો ઉકેલાયો છે. ડુંગરી P I યુ એચ પટેલના નેતૃત્વમાં ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ડુંગરી ઓવરબ્રિજ પાસે એક શંકાસ્પદ બ્રાઉન કલરની મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડી અટકાવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી લોખંડની ભારે પ્લેટો મળી આવી હતી. ચાલકોની કડક પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે, આ પ્લેટો ખજુરડી ગામે બુલેટ ટ્રેનના પિલર નંબર 204 P02 પાસેથી ચોરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સુભાષકુમાર શ્રવણકુમાર (ઉંમર 25, હાલ રહે. નવસારી અને દેવેન્દ્ર જગદીશ પુરી (ઉંમર 25, હાલ રહે. નવસારી નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 21 નંગ લોખંડની પ્લેટો (વજન 1235 કિલો, કિંમત રૂ. 74,100), એક મહિન્દ્રા બોલેરો કેમ્પર (કિંમત 5 લાખ અને બે મોબાઈલ ફોન (કિંમત 40 હજાર) સહિત કુલ રૂ. 6.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નેશનલ 'ફાયર સર્વિસ ડે':નિર્મળનગર ફાયર સ્ટેશનથી શરૂ થઈ વાઘાવાડી રોડ સુધી ફાયર બ્રિગેડની રેલી પસાર થઈ
દેશભરમાં દર વર્ષે 14મી એપ્રિલને 'નેશનલ ફાયર સર્વિસ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસના માનમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નાગરિકોમાં આગના અકસ્માતો સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર અદ્યતન વાહનો અને સાધનો સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલિ અને ઐતિહાસિક મહત્વરેલીના પ્રારંભ પૂર્વે નિર્મળનગર સ્થિત ફાયર સ્ટેશન ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા ફાયર ફાઈટરોને પુષ્પાંજલિ અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ બંદરે થયેલા ભીષણ વિસ્ફોટમાં અનેક જવાનોએ જીવ ગુમાવ્યા હતા, જેમની યાદમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અદ્યતન કાફલા સાથે શહેરના માર્ગો પર જનજાગૃતિફાયર વિભાગના કાફલામાં સામેલ તમામ નાના-મોટા અદ્યતન વાહનો સાયરનના નાદ સાથે માર્ગો પર ઉતર્યા હતા. હાઈડ્રોલિક પ્લેટફોર્મ, હેવી બ્રાઉઝર, વોટર ટેન્ક, ફોમ ટેન્ડર, રેસ્ક્યુ વાન અને એમ્બ્યુલન્સ સાથે નિર્મળનગર ફાયર સ્ટેશનથી શરૂ થઈ નીલમબાગ, પાનવાડી, જશોનાથ ચોક, ક્રેસન્ટ સર્કલ, ઘોઘા સર્કલ અને વાઘાવાડી રોડ સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આ રેલી પસાર થઈ હતી.
મહેસાણાના લાખવડ રોડ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ સાસરી પક્ષ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસ અંગે શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2025માં લગ્ન કરનાર જમનાબેન વણજારાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂક્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 'મારે તને રાખવી નથી' કહી મારઝૂડ કરીફરિયાદની વિગતો મુજબ, મહેસાણાની જમનાબેનના લગ્ન વર્ષ 2025માં નડીયાદ-મહુધા ખાતે સચીનભાઈ વણજારા સાથે થયા હતા. શરૂઆતના થોડા મહિના સુખરૂપ વીત્યા બાદ સાસરી પક્ષ દ્વારા હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી. આશરે એક મહિના અગાઉ પતિ સચીનભાઈએ 'મારે તને રાખવી નથી' તેમ કહી ગાળાગાળી કરી હતી અને પરિણીતાનો હાથ મચેડી નાખી મારઝૂડ કરી હતી. આ સમયે સાસુ શાંતાબેન અને સસરા મનાજીએ પણ પુત્રનો પક્ષ લઈ મેણા-ટોણા માર્યા હતા અને જમનાબેનને પહેરેલે કપડે ઘરેથી કાઢી મૂકી હતી. સમાધાન બાદ પણ વર્તનમાં ફેરફાર નહીંઘટના બાદ હોળીના તહેવાર પર પતિ સચીનભાઈ પત્નીને તેડવા આવ્યા હતા અને હવે પછી હેરાન ન કરવાની ખાતરી આપી હતી. પતિના ભરોસે જમનાબેન ફરી સાસરીમાં રહેવા ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ પતિ અને સાસુ-સસરા ઉપરાંત કાકા સસરા વિનુજી વણજારાએ ફરી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરી પક્ષના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતા આખરે ફરી પોતાના પિયર મહેસાણા પરત ફરી હતી. પરિણીતાએ આખરે હિંમત ભેગી કરી પતિ સચીન, સાસુ શાંતાબેન અને સસરા મનાજી વણજારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. મહેસાણા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રાજપીપળા: નર્મદા પંચકોષી પરિક્રમા તેના અંતિમ ચરણમાં છે અને આગામી અમાસના દિવસે પૂર્ણ થશે. છેલ્લા શનિવાર, રવિવાર અને સોમવારની રજાઓમાં, જેમાં આંબેડકર જયંતિની પૂર્વ રાત્રિનો પણ સમાવેશ થાય છે, અંદાજે દોઢ લાખ જેટલા પરિક્રમાવાસીઓ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ પરિક્રમાવાસીઓની સંખ્યા આઠ લાખ સુધી પહોંચી છે. વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં પરિક્રમાવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો રાત્રિના સમયે પણ પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા, જેના કારણે પાર્કિંગ સ્થળો પણ ભરાઈ ગયા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે પરિક્રમાવાસીઓને થોડા-થોડા અંતરે રોકીને આગળ વધવા દીધા હતા. આ દરમિયાન કેટલાક સ્થળોએ લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. જોકે, પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને થાળે પાડી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના બનવા દીધી ન હતી. પરિક્રમા પૂર્ણતાના આરે હોવાથી છેલ્લા દિવસોમાં ભક્તોની ભીડ વધુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી વહીવટી તંત્ર અને સુરક્ષા માટે તૈનાત કરાયેલા સરકારી કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મૂકવામાં આવ્યા છે. હાલમાં નર્મદા પોલીસ દ્વારા પરિક્રમાની સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે, અને ભક્તો શ્રદ્ધાપૂર્વક પોતાની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે.
શું તમારા ખિસ્સામાં રહેલા પૈસાની કિંમત આજે બદલાઈ જશે? આ સવાલ એટલા માટે કારણ કે આજે વોશિંગ્ટનમાં મોટો ખેલ ખેલાવાનો છે. 1948 પછી પહેલીવાર ઈઝરાયલ અને લેબનોન એક ટેબલ પર બેસવાના છે અને યુદ્ધ રોકવા અમેરિકા મધ્યસ્થી કરશે. જો આ બેઠક સક્સેસફુલી પૂરી થઈ જશે તો ઈરાનના સમર્થનવાળા હિઝબુલ્લાહનો લેબનોનમાંથી સફાયો બોલી શકે તેમ છે. ઈસ્લામાબાદમાં જે ઈઝરાયલ ઈરાનની યુદ્ધ રોકવાની મીટિંગ હતી તે ફેલ થઈ ગઈ છે. જેના કારણે હોર્મુઝમાં અમેરિકા અને ઈઝરાયલના જહાજોના થપ્પા લાગી ગયા છે. ટેન્શન વધતા ક્રૂડ ઓઈલની કિંમતો પણ વધી છે અને ભારત સહિત દુનિયાના દેશોમાં પણ બની શકે કે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધી શકે. આ વાત જાણવી આપણા માટે એટલા માટે જરૂરી છે કારણ કે આપણા ખિસ્સાને સીધી અસર કરી જાય છે. નમસ્કાર... 14 એપ્રિલ, 2026. આજે વિશ્વની નજર બે મોટા શહેરો પર ટકેલી છે પાકિસ્તાનનું ઇસ્લામાબાદ અને અમેરિકાનું વોશિંગ્ટન. ઇસ્લામાબાદમાં ઇસ્લામાબાદ ટોક્સ મુજબ ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ રોકવા ન્યૂક્લિયર ડિપ્લોમસી ચાલી, જો કે ફેલ ગઈ પણ હજુ આગળ ચાલી રહી છે તેવા સમાચાર છે જેથી યુદ્ધ રોકી શકાય. આ મીટિંગમાં પ્રોબ્લમ છે ટાઈમ. અમેરિકા ઈરાન પાસે 20 વર્ષના ન્યૂક્લિયર ફ્રીઝની માંગ કરી રહ્યું છે, જ્યારે ઈરાન માત્ર 5 વર્ષની ઓફર આપીને અડી ગયું છે. અમેરિકાએ કહી દીધું 20 વર્ષથી ઓછું કંઇ ના ખપે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ઇસ્લામાબાદમાં સ્પષ્ટ કહી દીધું છે કે ટ્રમ્પ સરકાર માટે 20 વર્ષથી ઓછો કોઈપણ સમયગાળો સ્વીકાર્ય નથી. આ માંગ પાછળનું તર્ક ઊંડું છે. અમેરિકા ઈચ્છે છે કે 20 વર્ષના લાંબા ગાળામાં ઈરાનની વર્તમાન સેન્ટ્રિફ્યુજ ટેકનોલોજી એટલી હદે જૂની થઈ જાય કે જ્યારે આ સમયગાળો પૂરો થાય ત્યારે ઈરાન માટે ફરીથી ન્યૂક્લિયર એન્રિચમેન્ટ કરવું ટેકનિકલી અશક્ય થઈ જાય. આ સિવાય, વોશિંગ્ટન એવી ગણતરી કરી રહ્યું છે કે આવનાર બે દાયકામાં ઈરાનમાં પેઢીગત પરિવર્તન આવશે, જે કદાચ પરમાણુ શસ્ત્રો પ્રત્યેના વલણને કાયમી ધોરણે બદલી નાખશે. ઓફર પાછળનું ગણિત પણ સમજો અમેરિકાની 20 વર્ષની ઓફરમાં જનરલ લાયસન્સ Hનું રિસ્ટોરેશન એક મોટી લાલચ છે. આ લાઇસન્સ હેઠળ અમેરિકન કંપનીઓની સબસિડિયરીઝ ઈરાનના ગેસ ફિલ્ડ્સને મોડર્નાઈઝ કરી શકશે. ઈરાન અત્યારે જૂની ટેકનોલોજીને કારણે તેના 40% ગેસનું ઉત્પાદન ગુમાવી રહ્યું છે. 5 વર્ષની ડીલમાં અમેરિકા આ ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર નથી, જે ઈરાન માટે સૌથી મોટું નુકસાન છે. પણ તેહરાન માટે આ રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું સમર્પણ છે. ઈરાને ઓફર કરેલા 5 વર્ષના સમયગાળા પાછળની ગણતરી એવી છે કે તેઓ તાત્કાલિક પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવી પોતાની અર્થવ્યવસ્થાને શ્વાસ લેવાની જગ્યા આપવા માંગે છે, જ્યારે પોતાની ન્યૂક્લિયર ક્ષમતાને કાયમી ધોરણે નષ્ટ કરવા માંગતા નથી. 12 એપ્રિલના રોજ જ્યારે 21 કલાકની મેરેથોન મંત્રણાઓ નિષ્ફળ ગઈ, ત્યારે વિશ્વએ તેની સૌથી ભયાનક અસર જોઈ... અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નૌકાકાફલો ગોઠવીને ઈરાનની આર્થિક નાકાબંધી શરૂ કરી દીધી છે. અમેરિકાની દરિયાઈ નાકાબંધી ખાલી તેલ રોકવા માટે નથી, પણ તે ઈરાનના પેટ્રોકેમિકલ અને એગ્રીકલ્ચર સેક્ટરને પણ નિશાન બનાવવાનો પ્લાન કરી રહી છે. કેટલાક મુદ્દાઓ પર ઇરાન ટસનું મસ નહીં સમયગાળા સિવાય, બીજો મોટો પ્રોબ્લમ ઈરાનના સ્ટોકપાઈલ એટલે કે સંવર્ધિત યુરેનિયમના જથ્થાનો છે. અમેરિકાની માંગ છે કે ઈરાન તેની ધરતી પરથી તમામ સંવર્ધિત યુરેનિયમ હટાવીને કોઈ ત્રીજા દેશ જેમ કે રશિયા અથવા ચીનને સોંપી દે. ઈરાન આ માટે સ્પષ્ટ મનાઈ કરી રહ્યું છે. તેઓ માત્ર જથ્થાને મંદ કરવાની તૈયારી બતાવી રહ્યા છે. આ પરિસ્થિતિએ પરમાણુ મડાગાંઠને વધુ અઘરી બનાવી દીધી છે. અમેરિકાને ડર છે કે જો યુરેનિયમ ઈરાનની ધરતી પર રહેશે, તો કોઈપણ કટોકટીમાં ઈરાન થોડા જ અઠવાડિયામાં બોમ્બ બનાવવાની કેપેસિટી હાંસલ કરી શકે છે. વાત બનશે નહીં તો દુનિયાએ ભોગવવું પડશે આ ડિપ્લોમેટિક નિષ્ફળતાની સૌથી મોટી કિંમત અત્યારે દુનિયાની સામાન્ય જનતા ચૂકવી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે વિશ્વના તેલ વેપારની મુખ્ય ધમની છે, ત્યાં અમેરિકન નૌકાદળની હાજરી અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ IRGCની ઘેરાબંધીએ ક્રૂડ ઓઈલના ભાવને ભડકાવ્યા છે. આજે તેલના ભાવ 8% થી વધુ ઉછળીને $104.43 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. માર્કેટ એનાલિસ્ટ્સ માની રહ્યા છે કે જો ઇસ્લામાબાદ ટોક્સમાં 21 એપ્રિલ સુધીમાં કોઈ મિડલ નંબર જેમ કે 10 કે 12 વર્ષ પર ઈરાન અને અમેરિકા વચ્ચે સંમતિ નહીં સધાય, તો તેલના ભાવ $120 ને પાર કરી શકે છે. આ માત્ર ઈરાન માટે જ નહીં, પણ ભારત જેવા દેશો માટે ફુગાવાનું નવું મોજું લાવી શકે છે. ઈરાનનો દાવો છે કે તેઓ હોર્મુઝને એક ડેડલી વોર્ટેક્સમાં ફેરવી નાખશે, જેનો અર્થ છે કે કોઈપણ લશ્કરી હિલચાલ વૈશ્વિક સપ્લાય ચેઈનને કાયમી ધોરણે ખોરવી શકે છે. ઇરાન માટે અસ્તિત્વની લડાઇ ઈરાન માટે આ મંત્રણાઓ માત્ર રાજનીતિ નથી, પરંતુ અસ્તિત્વની લડાઈ છે. 2026ના આંકડા મુજબ, ઈરાની રિયાલ અમેરિકન ડોલર સામે 10 લાખને પાર કરી ગયો છે. ફુગાવો 40% થી ઉપર છે. અમેરિકાની નાકાબંધીને કારણે ઈરાનને દર મહિને અંદાજે $13 અબજનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ઈરાનમાં અત્યારે ફુગાવો એટલો વધ્યો છે કે જીવનજરૂરી ચીજોના ભાવમાં દર અઠવાડિયે 15-20% નો વધારો થઈ રહ્યો છે. જો આ નાકાબંધી વધુ બે અઠવાડિયા ચાલશે, તો ઈરાનની સેન્ટ્રલ બેંક પાસે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઇમ્પોર્ટ ક્રેડિટ આપવાની કેપેસિટી ખતમ થઈ જશે. અમેરિકાની વ્યૂહરચના અહીં ગાજર અને લાકડીની છે. જો ઈરાન 20 વર્ષની શરત માને છે, તો તેને આશરે $1 ટ્રિલિયનના GDP ફાયદાની ઓફર કરવામાં આવી છે. આમાં અમેરિકન ટેકનોલોજી, એવિએશન અને એનર્જી સેક્ટરમાં મોટા રોકાણો પણ સામેલ થાય છે. પણ ઈરાનનો ઇતિહાસ તેને આ લાંબા ગાળાના વાયદાઓ પર વિશ્વાસ કરવા દેતો નથી. કારણ કે તેમને ડર છે કે જો તેઓ 20 વર્ષ માટે હથિયાર હેઠા મૂકશે, તો મધ્યમાં કોઈ નવો અમેરિકન રાષ્ટ્રપતિ ફરીથી આ સમજૂતી તોડી શકે છે. 2018માં ટ્રમ્પ આવું કરી ચૂક્યા છે. 21 એપ્રિલની ડેડલાઈન પર સૌની નજર આ સંકટમાં પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી અત્યારે શાંતિ દૂતની ભૂમિકા ભજવી રહ્યા છે. ઇસ્લામાબાદમાં બીજી રાઉન્ડની વાતચીતની તૈયારીઓ થઈ રહી છે. તેમનો મેઈન મોટિવ 21 એપ્રિલના સીઝફાયર ડેડલાઈન પહેલા બંને પક્ષોને કોઈ મધ્ય માર્ગ પર લાવવાનો છે. જો આ મધ્યસ્થી ફેલ જાય તો પશ્ચિમ એશિયામાં એક એવું મહાયુદ્ધ ફાટી નીકળશે જેની આંચ સીધી દુનિયા પર પડવાની છે. આ તો થઈ ઇસ્લામાબાદની વાત, પણ આજની સૌથી મોટી બ્રેકિંગ સ્ટોરી વોશિંગ્ટનમાં આકાર લઈ રહી છે. ભારત રશિયા પાસેથી તેલ લે છે કે ઈરાન પાસેથી, તેની અસર કરતા વધુ મોટી અસર આજે રાત્રે 8:30 વાગ્યે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે થનારી બેઠકની પડશે. આ બેઠક શા માટે હિઝબુલ્લા અને ઈરાન માટે મૃત્યુઘંટ સાબિત થઈ શકે છે. ઈઝરાયેલના રાજદૂત યેચિલ લીટર અને લેબનોનના રાજદૂત નાદા હમાદેહ મોઆવદ આમને-સામને બેસવાના છે. 1948 પછીના દાયકાઓમાં આ પ્રથમ એવી તક છે જ્યારે આ બંને દેશો પરોક્ષ સંદેશાઓ છોડીને સીધી ડિપ્લોમસી કરી રહ્યા છે રાજદ્વારી નિષ્ણાતો આ બેઠકને 1979ના ઈજિપ્ત-ઈઝરાયેલ શાંતિ કરાર સાથે સરખાવી રહ્યા છે. જે રીતે ત્યારે ઈજિપ્ત આરબ જગતમાં ઈઝરાયેલને માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો હતો, તેમ આજે લેબનોન પણ ઈરાનના ખેમામાંથી છૂટું પડીને પોતાનો સ્વતંત્ર રસ્તો શોધી રહ્યું છે. લેબનોન માટે આ બેઠક મજબૂરી આ બેઠકની સફળતાનો સીધો અર્થ એ છે કે લેબનોન હવે ઈરાનના પ્રોક્સી વોર અને ગ્રુપ હિઝબુલ્લાહનું મેદાન બનવા તૈયાર નથી. લેબનોન માટે આ કોઈ શોખ નથી, પણ મજબૂરી છે. દેશ આર્થિક રીતે તહસ-નહસ થઈ ચૂક્યો છે અને માર્ચ મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલી હુમલામાં 2,000 થી વધુ નાગરિકોના મોત થયા છે. અને 10 લાખથી વધુ લોકોને ઘર છોડીને સેફ જગ્યા પર જવું પડ્યું છે. બેરૂત હવે જાણે છે કે જો તે ઈરાન અને હિઝબુલ્લાના ભરોસે રહેશે, તો લેબનોન નકશા પરથી ભૂંસાઈ જશે. અમેરિકામાં થનાર ઈઝરાયલ અને લેબનોનની આ બેઠક હિઝબુલ્લા માટે ત્રણ દિશામાં ઘાતક સાબિત થવાની છે. એક્સપર્ટ્સ તેને પોલિટિકલ ડેકેપિટેશન કહી રહ્યા છે: 1) સોવેર્નિટી પરનો વીટો ખતમ દાયકાઓથી લેબનોનમાં યુદ્ધ અને શાંતિના નિર્ણયો હિઝબુલ્લા લેતું હતું, લેબનોન સરકાર નહીં. આજે જ્યારે લેબનોનના સત્તાવાર રાજદૂત વોશિંગ્ટનમાં ઈઝરાયેલ સામે બેસે છે, ત્યારે લેબનોન કેબિનેટ એ સંદેશ આપી રહી છે કે રાજ્ય હવે સર્વોપરી છે, કોઈ મિલિશિયા ગ્રુપ નહીં. 2) લિટાની બફર અને હથિયાર હેઠા મૂકવા: ઈઝરાયેલની મુખ્ય માંગ છે કે યુએન ઠરાવ 1701નું કડક પાલન થાય. જે મુજબ હિઝબુલ્લાએ લિટાની નદીની ઉત્તરે હટી જવું પડશે. અમેરિકા આ વખતે માત્ર કાગળ પરની ખાતરી નથી માંગતું, પરંતુ એક ઇન્ટરનેશનલ એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ બનાવવાની તૈયારી કરી રહ્યું છે જે હિઝબુલ્લાના હથિયારના જથ્થા પર સીધા હુમલા કરી શકશે. 3) ગઝા-ઈરાન ફ્રન્ટથી અલગાવ: અત્યાર સુધી હિઝબુલ્લા એમ કહીને હુમલા કરતું હતું કે જ્યાં સુધી ગઝામાં યુદ્ધ ચાલશે ત્યાં સુધી અમે લડતા રહીશું. આજના વોશિંગ્ટન ટ્રેકનો ઉદ્દેશ્ય લેબનોનને આ યુનિટી ઓફ ફ્રન્ટ્સમાંથી તોડવાનો છે. જો લેબનોન અલગથી યુદ્ધવિરામ કરે છે, તો હિઝબુલ્લા બનાવવાનો મેઈન મોટિવ કે તર્ક જ ખતમ થઈ જશે. તો હિઝબુલ્લાહનો સફાયો નક્કી આ મીટિંગ પહેલા બેરૂતમાં લેબનોન કેબિનેટે એક ખૂબ જ મહત્વનો આદેશ આપ્યો છે કે બેરૂતમાં હથિયારો માત્ર સરકારી સંસ્થાઓ પાસે જ રહેશે. આ સીધો હિઝબુલ્લાના નેતા નાઈમ કાસેમ માટે પડકાર છે. હિઝબુલ્લા અત્યારે પોતાના ઈતિહાસના સૌથી નબળા તબક્કે છે. 2025ના ઓપરેશન મિડનાઈટ હેમરમાં તેમની સૈન્ય તાકાતને જે ફટકો પડ્યો છે, તેના કારણે તેમની અંદર પણ ભાગલા પડ્યા છે. વોશિંગ્ટન આજે લેબનોનને માત્ર શાંતિ નથી આપી રહ્યું, પણ એક ઈકોનોમિક લાઈફલાઈન આપી રહ્યું છે. જો આ વાટાઘાટો સફળ થાય છે તો... ગ્લોબલ એનર્જી માર્કેટ માટે 14 એપ્રિલ રાતે 8:30નો સમય મેક ઓર બ્રેક જેવો છે. $104 પર ટ્રેડ કરતું ક્રૂડ ઓઈલ વોશિંગ્ટનમાંથી આવતા એક પોઝિટિવ સિગ્નલથી $10-$15 ગબડી શકે છે. બીજી બાજુ, જો આ મીટિંગમાં કોઈ સહમતી નહીં સધાય, તો હિઝબુલ્લા 21 એપ્રિલની ડેડલાઈન પહેલા ઈઝરાયેલ પર મોટો હુમલો કરીને આ ડિપ્લોમેટિક ટ્રેકને તોડવાનો પ્રયાસ કરશે. ઈરાન માટે લેબનોન એ તેની ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ છે. હિઝબુલ્લા ઈરાનનું સૌથી મજબૂત પ્રોક્સી છે. જો લેબનોન ઈઝરાયેલ સાથે હાથ મિલાવે છે, તો ઈરાનનો ઈઝરાયેલને ઘેરી લેવાની રણનીતિનો સૌથી મજબૂત છેડો તૂટી જશે. આનાથી ઈરાન ઇસ્લામાબાદની પરમાણુ મંત્રણામાં એકલું પડી જશે. તેની પાસે રહેલું સૌથી મોટું લિવરેજ એટલે કે હિઝબુલ્લાની મદદથી યુદ્ધ છેડવાની ધમકી ખતમ થઈ જશે. અમેરિકા માને છે કે 2015નો કરાર એક શોર્ટ-ટર્મ બેન્ડ-એઇડ હતો. 2015ના કરારની મર્યાદાઓ 10 થી 15 વર્ષમાં ખતમ થવાની હતી. 2026માં આ મર્યાદાઓ હવે ઈરાનને ફરીથી સંવર્ધન માટે રસ્તો સાફ કરી રહી છે. એટલે, હવે 20 વર્ષનો યુનિફોર્મ ફ્રીઝ માંગવામાં આવી રહ્યો છે. જૂના કરારમાં મિસાઈલ ટેકનોલોજી પર કોઈ નિયંત્રણ નહોતું. 2026ના નવા પ્રસ્તાવમાં નેક્સસ ક્લોઝ ઉમેરાયો છે, જે મુજબ ઈરાને ન્યુક્લિયર ફ્રીઝની સાથે લાંબા અંતરની મિસાઈલ ટેસ્ટિંગ પણ બંધ કરવી પડશે. અગાઉ IAEAને લશ્કરી થાણાઓ પર જવા માટે 24 દિવસની લાંબી પ્રોસેસ કરવી પડતી હતી. હવે અમેરિકા ઇન્સ્ટન્ટ એટલે કે માત્ર 24 કલાકની નોટિસ પર કોઈપણ સ્થળની તપાસ કરવાની સત્તા માંગી રહ્યું છે. 2015માં પ્રતિબંધો હટતા જે અબજો ડોલર ઈરાનને મળ્યા, તેનો ઉપયોગ હિઝબુલ્લા અને હૂતીઓ માટે થયો. આ વખતે અમેરિકા રીજનલ નોન-એગ્રેશન પેક્ટની શરત મૂકી રહ્યું છે. અગાઉ ઈરાનને પોતાની ધરતી પર લિમિટેડ ન્યૂક્લિયર સંવર્ધનની છૂટ હતી. હવે અમેરિકા રિજનલ ફ્યુઅલ બેન્કનો આગ્રહ રાખે છે, જેથી ઈરાનને બહારથી ન્યુક્લિયર ફ્યુઅલ મળે પણ તે પોતે ક્યારેય યુરેનિયમ સંવર્ધિત ન કરી શકે. આ સંઘર્ષ માત્ર મિસાઈલોનો નથી, પણ બે વિરોધી વિચારધારાઓના નેતાઓની માનસિકતાનો છે. આપણે અલી ખામૈની અને બેન્જામિન નેતન્યાહુની માનસિકતા સમજીએ. બેન્જામિન નેતન્યાહુ: તેઓ અત્યારે ટોટલ વિક્ટ્રીના મૂડમાં છે. તેમનો ઉદ્દેશ્ય 2023 પહેલાની સ્થિતિમાં પાછા ફરવાનો નથી. તેઓ ઈચ્છે છે કે તેમનો વારસો એવો હોય કે તેમણે ઈરાનના પ્રોક્સી નેટવર્કને કાયમી ધોરણે તોડી નાખ્યું. આથી જ તેઓ અમેરિકા પર દબાણ કરી રહ્યા છે કે 20 વર્ષની શરતથી એક પણ ઇંચ પાછળ ન હટવું. મોજતબા ખામૈની: 86 વર્ષની વયે પોતાની પિતાની હત્યા તેમના માટે મોટો આઘાત છે અને બદલાની આગ પણ છે. સમાચારો મુજબ તે ભલે સર્વૌચ્ચ નેતા બની ગયા પણ આજની તારીખે પણ નિર્ણયો ઈરાની સેના જ લઈ રહી છે. 2018માં ટ્રમ્પે જે રીતે કરાર તોડ્યો હતો, તે તેમના માટે એક મોટો ટ્રોમા હતો. તેઓ અમેરિકાને ભરોસાપાત્ર માનતા નથી. 5 વર્ષની ઓફર પાછળ તેમનો તર્ક એવો છે કે 2029માં અમેરિકામાં નવી સરકાર આવશે, ત્યારે તેમની પાસે ફરીથી ન્યુક્લિયર લિવરેજ હોવું જોઈએ. આ પૂરી જીઓપોલિટિકલ ગેમનો તાર અમેરિકાની આંતરિક રાજનીતિ સાથે પણ જોડાયેલો છે. 3 નવેમ્બર 2026ના રોજ અમેરિકામાં મિડ-ટર્મ ઇલેક્શન છે. ટ્રમ્પ વહીવટીતંત્ર માટે આ યુદ્ધ એક બેધારી તલવાર છે. એકબાજુ પીસ થ્રુ સ્ટ્રેન્થની છબી છે, તો બીજી બાજુ $104 પ્રતિ બેરલ તેલના ભાવે સામાન્ય અમેરિકન મતદારોના ખિસ્સા પર ભાર મૂક્યો છે. જો વોશિંગ્ટનમાં આજે રાત્રે 8:30 વાગ્યે ઈઝરાયેલ-લેબનોન વચ્ચે કોઈ બ્રેકથ્રુ મળે છે, તો ટ્રમ્પ સરકાર તેને પોતાની મોટી જીત તરીકે રજૂ કરશે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો માટે આ એક મોટી મુસિબત છે કે ગમે તેમ કરીને તેમને ઈઝરાયલ અને લેબનોન વચ્ચે સમાધાન કરાવવાનું છે. જે તેમને 2026ની ચૂંટણીમાં પણ મોટો ફાયદો કરાવી શકે છે. જો નવેમ્બર 2026 ની ચૂંટણી પહેલા વધેલા ભાવ કે મોંઘવારી નીચે નહીં આવે, તો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ ગુમાવી શકે છે. આ જ કારણ છે કે જેડી વેન્સ ઇસ્લામાબાદમાં આક્રમક હોવા છતાં, અંદરખાને એક મિડલ ગ્રાઉન્ડ શોધી રહ્યા છે. ઈઝરાયેલ-લેબનોનએ ટ્રમ્પ માટે એક એક્ઝિટ પ્લાન છે. જો લેબનોનમાં શાંતિ થાય, તો તેઓ દાવો કરી શકશે કે મિડલ ઈસ્ટમાં યુદ્ધ પૂરું થઈ ગયું છે, જે તેલના ભાવ ઘટાડવા માટે પૂરતું હશે. અને તે યુદ્ધ મેં એટલે કે ટ્રમ્પે કરાવ્યું છે. ભારત જેવા દેશો માટે આ સંઘર્ષના બે પાસા છે. ટૂંકા ગાળે તેલના વધતા ભાવ ફુગાવો વધારશે, પરંતુ જો લાંબા ગાળે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે કોઈ સ્થિર સમજૂતી થાય છે, તો તે ગ્લોબલ સપ્લાય ચેઈન અને એનર્જી સિક્યુરિટી માટે વરદાન સાબિત થશે. અને છેલ્લે… યુદ્ધવિરામ વચ્ચે આજે લેબનોન અને ઈઝરાયલ વચ્ચે ઐતિહાસિક મીટિંગ થશે. બે દિવસ પછી અમેરિકા-ઈરાન ફરી મીટિંગ કરવાના છે. 21 એપ્રિલની ડેડલાઇન પહેલાં બધા મીટિંગ-મીટિંગ રમે છે. જો આ બન્ને મીટિંગ પણ ફેલ ગઇ તો દુનિયાનું અર્થતંત્ર વેન્ટિલેટર પર આવી જશે એ નક્કી છે. જો કે એક વાત એ પણ છે કે, આવી કોઇ એકાદ બે મીટિંગોથી આવા વિવાદનો હલ આવતો નથી. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
સુરતના કતારગામ વિસ્તારમાં એક વેપારી પાસે તેમનું નવું બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે પોતાની વગનો ઉપયોગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી બાંધકામ અટકાવ્યા બાદ વેપારી પાસેથી નાણાં પડાવ્યા હતા. આ મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સોસાયટીના લેટરપેડનો દુરુપયોગવેડરોડ પર રહેતા 60 વર્ષીય વેપારી મનસુખભાઇ પાનસુરીયાએ પોતાની જર્જરિત મિલકત પર મે-2025થી નવું બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાનજીભાઇ કાછડીયાએ બાંધકામને ગેરકાયદે ગણાવી સોસાયટીના લેટરપેડ પર કતારગામ ઝોન કચેરીમાં અરજીઓ કરી હતી. SMCએ આ અરજીઓના આધારે કામ અટકાવી દેતા આરોપીએ બાંધકામ ફરી શરૂ કરવાના બદલામાં 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ધમકાવીને 50 હજાર પડાવ્યાગઈ તા. 7 એપ્રિલ 2026ના રોજ આરોપીએ વેપારીના પુત્ર રવિને શ્યામવાડી ગેટ પાસે બોલાવી ધમકાવ્યો હતો અને તેની પાસેથી બળજબરીપૂર્વક 50,000 રૂપિયા પડાવી લીધા હતા. આ સાથે જ બાકીના 19.50 લાખ રૂપિયા તા. 10 એપ્રિલ સુધીમાં આપી દેવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ સમગ્ર વ્યવહારનો વીડિયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીવેપારીએ આરોપીની માથાભારે છબીને કારણે શરૂઆતમાં ડર અનુભવ્યો હતો, પરંતુ અંતે પરિવારની સમજાવટથી ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી પ્રશાંત કાછડીયા વિરુદ્ધ BNS ની કલમ 308(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર ડોડીયાએ આ કેસની તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વડોદરા શહેરમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનો એક અન્ય બનાવ સામે આવ્યો છે. કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી એક એજન્ટે યુવક પાસેથી તબક્કાવાર 17.09 લાખ રૂપિયા પડાવી લીધા બાદ ખોટા દસ્તાવેજો આપ્યા હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેનેડા માટે વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનું કહીને 17 લાખ પડાવ્યાવડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ભાવીન જંયતીલાલ અંકોલા (ઉંમર 31), જે પાદરા ખાતે એક ફાર્મા કંપનીમાં નોકરી કરે છે, તેમણે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હતાં. ફેબ્રુઆરી 2023 દરમિયાન તેમના મિત્ર મારફતે કારેલીબાગ સ્થિત અક્ષર ફોરેન એજ્યુકેશન નામની એજન્સી સાથે સંપર્ક સાધ્યો હતો. ભાવીનએ તબક્કાવાર રૂપિયાની ચુકવણી કરી હતીઆ એજન્સીના સંચાલક અતિત જિતેન્દ્ર બારોટે કેનેડા માટે વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની ખાતરી આપી તેમની પાસેથી રૂપિયા 17.09 લાખમાં કામ કરવાની વાત કરી હતી. ત્યારબાદ ભાવીન અંકોલાએ તબક્કાવાર રૂપિયાની ચુકવણી શરૂ કરી હતી. તેમણે પ્રથમ 4 ફેબ્રુઆરીના રોજ રૂ.1 લાખ અને 27 ફેબ્રુઆરીના રોજ રૂ.2 લાખના ચેક આપ્યા હતા. બાદમાં 29 સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.8 લાખ અને ફેબ્રુઆરી 2024 દરમિયાન વિઝા પ્રોસેસ ફી તરીકે રૂ.1.97 લાખ આરટીજીએસ મારફતે ચૂકવ્યા હતા. આમ મળીને આરોપીને અંદાજે રૂ.17.97 લાખ આપવામાં આવ્યા હતા. LMIA લેટર સહિતના દસ્તાવેજ ખોટાઆ દરમિયાન આરોપીએ ભાવીનને કેનેડાની CNRL કંપનીનું LMIA લેટર મોકલી વિશ્વાસમાં લીધા હતા. પરંતુ આ લેટર પર શંકા જતા ભાવીને પોતાના ઇમેઇલ દ્વારા કેનેડાની કંપનીને સંપર્ક કરતા એવો કોઈ LMIA લેટર તેઓએ જારી કર્યો નથી અને આપેલા દસ્તાવેજ પણ ખોટો છે. અતીત બારોટે ખોટા દસ્તાવેજો તૈયાર કરી વિદેશ મોકલવાના બહાને રૂપિયા પડાવી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી મોટી રેડના મામલે વધુ એક સફળતા મળી છે. કરોડો રૂપિયાના દારૂના જથ્થાના કેસમાં છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ અને લાલુ સિંધી ગેંગના સક્રિય સભ્ય સુનિલ ઉર્ફે અદાને SMCની ટીમે હરિયાણાના ગુડગાંવથી દબોચી લીધો છે. શું હતો સમગ્ર બનાવ?ગત 29 માર્ચ, 2026ના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વડોદરાના રઢીયાપુરા ગામે એક ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસે ₹43 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વાહનો અને અન્ય સામગ્રી મળી કુલ ₹1.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી લિસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ નેટવર્ક સાથે જોડાયેલા લાલુ સિંધી, સુનિલ ઉર્ફે અદો અને કાલુ ટોપી સહિત 11 આરોપીઓના નામ ખુલ્યા હતા, જેમને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયા હતા. ગુડગાંવમાં સંતાયો હતો મુખ્ય સૂત્રધારદારૂના આ મોટા નેટવર્કમાં સુનિલ ઉર્ફે અદો અને લાલુ સિંધી મુખ્ય કડી હોવાનું સામે આવ્યું હતું. ધરપકડથી બચવા સુનિલ સતત લોકેશન બદલી રહ્યો હતો. અંતે તે હરિયાણાના ગુડગાંવમાં હોવાની ચોક્કસ બાતમી SMCને મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમે ત્યાં વોચ ગોઠવી સુનિલને ઝડપી પાડ્યો છે. હાલ SMC દ્વારા આરોપી સુનિલ ઉર્ફે અદાની ધરપકડ કરી તેને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હજુ પણ લાલુ સિંધી સહિતના અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ તંત્ર પર સત્તાધારી પક્ષના ઈશારે ઉમેદવારોને ધમકાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. રાજ્ય ચૂંટણી આયોગને પાઠવેલી ફરિયાદમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પોલીસ અધિકારીઓ દ્વારા ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટે અન્યાયી દબાણ કરવામાં આવી રહ્યું છે, જે લોકશાહીની ગરિમા વિરુદ્ધ છે. રાજ્યભરમાં દબાણ અને ધમકીની ઘટનાઓનો આક્ષેપકોંગ્રેસની ફરિયાદ અનુસાર, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કલોલમાં પોલીસ દ્વારા ઉમેદવારોને સીધી ધમકી આપી ફોર્મ ખેંચવા મજબૂર કરાયા હોવાના આક્ષેપ છે. સુરતમાં સ્થાનિક પોલીસ અને SOG દ્વારા ઉમેદવારો પર સતત દબાણ અને દેખરેખ રાખવામાં આવતી હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે પોલીસ ઉમેદવારોને પોલીસ સ્ટેશન બોલાવી રહી છે અને ફોર્મ પરત ન ખેંચે તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. વેરાવળ-પાટણ નગરપાલિકામાં એક ઉમેદવારનું નામ યાદીમાં ન હોવા છતાં ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી કોંગ્રેસે નિયમોમાં પક્ષપાત થતો હોવાનું જણાવ્યું છે. આચારસંહિતાનું સરેઆમ ઉલ્લંઘનકોંગ્રેસે આ સ્થિતિને “બંધારણીય છેતરપિંડી” અને આચારસંહિતાનું સરેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે. પક્ષે માંગ કરી છે કે, ચૂંટણી આયોગ આ મામલે તાત્કાલિક તપાસ સમિતિની રચના કરે. ઉમેદવારોને ધમકાવતા દોષિત પોલીસ અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને તટસ્થતા જળવાય તે માટે તાકીદના પગલાં લેવામાં આવે.
અમદાવાદના સરખેજમાં પોલીસને યુવકની સળગાવી દીધેલી લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા યુવકની ત્રણ શખ્સોએ છરી મારી હત્યા કરીને લાશ સળગાવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક પોલીસનો બાતમીદાર હતો અને આરોપીની બાતમી આપી હોવાની શંકાએ યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સળગેલી લાશનું પીએમ કરાવતા હત્યાનો ઘટસ્ફોટસરખેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વણઝર ગામ પાસે કંઇક સળગતુ હોવાથી પોલીસ ત્યાં નજીક પહોંચી હતી અને તપાસ કરતા એક વ્યક્તિને સળગાવી દીધો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે અજાણ્યા વ્યક્તિની લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા તેની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે વધુ તપાસ કરતા લાશને પેટ્રોલ કે ડીઝલથી સળગાવી હોવાની હકીકત ખુલી હતી. સીસીટીવીમાં બે લોકો કેરબામાં ડીઝલ ખરીદતા નજરે પડ્યાપોલીસે નજીકના એક પેટ્રોલપંપ પર તપાસ કરતા સીસીટીવીમાં બે લોકો કેરબામાં ડીઝલ ખરીદતા નજરે પડ્યા હતાં. જે આધારે પોલીસે બંનેની શોધખોળ કરીને કમોડ ગામના ઠાકોરવાસમાં રહેતા જગદીશ ઉર્ફે કપિલ ઠાકોર અને દિપક રાવળની અટકાયત કરી હતી. બંનેની પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મારી નાખીને લાશ ફેંકી દેવાની જીતુએ ટીપ આપી હોવાની કબૂલાતઆરોપીઓએ કબૂલાત કરી કે, સરખેજ ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુએ તેના ઘર નજીક રહેતા જાવેદ ઉર્ફે મરઘી સિપાઇને મારી નાખીને લાશ ફેંકી દેવા ટીપ આપી હતી. જેથી સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એલ.એલ. ચાવડા અને ઝોન-7 એલસીબી પીએસઆઇ એચ.ડી. વાઘેલાની ટીમે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ફોન બંધ કરીને ભાગે તે પહેલા ઝડપી લીધો હતો. ત્રણેય આરોપીએ રીક્ષા ચાલક યુવકને છરી મારી હત્યા કરીઆરોપી પૈકી બે આરોપીઓ મૃતક યુવકની રીક્ષામાં ધોળકાથી બેઠા હતાં, ત્યારબાદ મુસાફર બનીને સરખેજ સુધી આવ્યા હતાં. સરખેજમાં ત્રીજો આરોપી હાજર હતો. ત્રણેય આરોપીએ રીક્ષા ચાલક યુવકને છરી મારી હત્યા કરી હતી. ત્યારબાદ નદીમાં ફેકી હતી, જેને ત્રણેયએ બહાર કાઢી લાકડા મૂકી 10 લિટર ડીઝલ નાખી સળગાવી દીધી હતી. મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, 3 શખસની ધરપકડઆમ, અજાણ્યા શખ્સની સળગતી લાશ મળી આવવા મામલે ગણતરીના સમયમાં મૃતકની ઓળખ કરીને મર્ડર કેસનો ભેદ ઉકેલીને પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આ પણ વાંચો 2 મહિના પહેલાં સગીરે ચોટીલાથી છરો ખરીદી અમદાવાદમાં યુવકની હત્યા કરી 22 ફેબ્રુઆરીએ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં શનિવારે રાત્રિના સમયે હિમેશ પરમાર નામના યુવકની થયેલી હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો હતો. થોડા દિવસ પહેલા હિમેશ પરમારે પોતાના ઘરના ઓટલા પર બેસવા બાબતે સગીરને ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખી સગીરે તેના મિત્ર સાથે મળી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો. હત્યાને અંજામ આપવા માટે સગીરે ચોટીલાથી છરાની ખરીદી કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
વડોદરા શહેર કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે મહારાષ્ટ્રના પનવેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળના ગુનામાં નાસતા ફરતા આરોપીને આજવા બ્રિજ નીચેથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્રમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ વોન્ટેડ હતોકપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાઓલ તેમના સ્ટાફને જરૂરી માહિતી આધારે પેટ્રોલિંગ ટીમમાં હાજર અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર હસમુખભાઈ દેવાભાઈ તથા જયેશભાઈ મેરામણભાઈને બાતમીદાર મારફતે મહત્વની માહિતી મળી કે, મહારાષ્ટ્રના પનવેલ પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ વોન્ટેડ આરોપી બોધલ ઉર્ફે રાહુલ ગલ્લુભાઈ સલાટ હાલ આજવા બ્રિજ નીચે ઊભો છે. પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો ને દબોચાયોબાતમીના આધારે પોલીસ ટીમ તરત જ સ્થળ પર પહોંચીને આરોપીને સ્થળ પરથી ઝડપી પુછપરછ દરમિયાન તેણે પોતાનું નામ બોધલ ઉર્ફે રાહુલ ગલ્લુભાઈ સલાટ (ઉંમર 22 વર્ષ વેપારી) હોવાનું જણાવ્યું હતું. તે હાલ આજવા બ્રિજ નીચે ખુલ્લી જગ્યામાં રહે છે અને મૂળ વતની આણંદના કોમ્યુનિટી હોલ નં. 02 પાસે રેલ્વે ફાટક ઓવરબ્રિજ પાસે છે. લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતાંસઘન પુછપરછમાં આરોપીએ પનવેલ પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ વોન્ટેડ હોવાની હકીકત સ્વીકારી હતી. ખાતરી કરતા જાણવા મળ્યું કે, પનવેલ શહેર પોલીસ સ્ટેશન (નવી મુંબઈ, મહારાષ્ટ્ર) ખાતે કેસ નોંધાયેલ છે. પનવેલ રેલ્વે સ્ટેશન પરિસરમાં આરોપીએ 15 વર્ષ 9 મહિનાની નાની છોકરીને લગ્નની લાલચ આપી ફોસલાવી, તેના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ સ્થાપી ગુનો કર્યો હતો. આરોપી ખુલ્લામાં પડાવ બાંધીને પ્લાસ્ટિકના તગારા વેચતો હતોઆરોપી મૂળ આણંદનો વતની છે, પરંતુ પકડાવાના ભયથી અલગ- અલગ ગ્યાએ ખુલ્લામાં પડાવ બાંધીને પ્લાસ્ટિકના તગારા વેચતો હતો. તાજેતરમાં તે આજવા બ્રિજ નીચે રહેવા આવ્યો હતો. તે દરમ્યાન પોલીસે ઝડપી બધું કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરામાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી:વિશાળ બાઇક રેલીમાં ઉમટી જનમેદની, લોકોએ પુષ્પવર્ષા કરી
ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શહેરમાં એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલીમાં યુવાનોની સાથે વડીલો પણ ઉત્સાહભેર જોડાયા હતા. શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ રેલીનું જે માર્ગો પરથી પસાર થઈ, ત્યાં સ્થાનિક લોકોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું. આ ઉજવણી દ્વારા ગોધરા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાન અને વિચારોને યાદ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ શીલજ સર્કલ પાસે દરોડો પાડી પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ટુ-વ્હીલર પર ગાંજાનું છૂટક વેચાણ કરવા નીકળેલા આ શખ્સો પાસેથી ₹8.57 લાખની કિંમતનો નશાકારક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસે 245 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે બેની ધરપકડ કરીઅમદાવાદ ગ્રામ્ય DySP આસ્થા રણાના જણાવ્યા અનુસાર, SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સો ટુ-વ્હીલર પર શીલજ સર્કલથી ગામ તરફ નશાકારક પદાર્થ લઈને જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી યશ ચૌહાણ (ઉં.વ. 27) અને નીરજ પટેલ (ઉં.વ. 42) ને આંતરીને તપાસ કરી હતી. તેમની પાસેથી 245 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹8,57,000 થાય છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી નીરજ પટેલ નોકરી કરે છે, જ્યારે યશ ચૌહાણ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બંને આરોપીઓ નશાની લત ધરાવે છે અને આ વ્યસનને કારણે જ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ બંને શખ્સો ટુ-વ્હીલર પર ગાંજાના જથ્થાનું છૂટકમાં વેચાણ કરવાના ઈરાદે નીકળ્યા હતા. આરોપીઓ નશાકારક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવ્યા?પોલીસે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓ આ નશાકારક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને અગાઉ કેટલી વખત આવા પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરી ચૂક્યા છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી જોગમાતા મંદિરે સમસ્ત ચંદ્રુમાણા રોહિત વાસ દ્વારા વાર્ષિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં ચાવડા હિતેશભાઈ ખેંગારભાઈએ મુખ્ય યજમાન તરીકે લાભ લીધો હતો. યજ્ઞ વિધિ નરેશભાઈ શ્રીમાળી અને લાલજીભાઈ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ જેવા કે પૂર્વ સરપંચ બાબુભાઈ ચાવડા, ખેંગારભાઈ ચાવડા, કાંતિભાઈ ચાવડા અને ગણપતભાઈ ચાવડા સહિત અનેક જ્ઞાતિજનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નીતિનભાઈ વ્યાસ અને મહાદેવભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ:ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી, સમાજના લોકો જોડાયા
તારીખ 14 એપ્રિલ, 2026 ના રોજ સમસ્ત રોહીદાસ વંશી વઢીયારા સમાજ 212 દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા અને રેલીનું આયોજન કરાયું હતું. ઢસા ગામમાં વઢીયારા સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા, જ્યાંથી રેલીનું પ્રસ્થાન થયું હતું. ડી.જે. સાથે નીકળેલી આ શોભાયાત્રાનું માંડવા અને જાળીયા ગામે સરપંચ જયાબેન રાઠોડ, પ્રવિણભાઈ રાઠોડ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માંડવા, જાળીયા, લીમડા, રંઘોળા ચોકડી, પરવાળા, ડેડકડી અને ધોળા સહિતના ગામોમાંથી પસાર થઈ હતી. ઠેર ઠેર ગ્રામજનો અને સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ધોળા ગામે રોહીદાસ વંશી વઢીયારા સમાજની વાડી ખાતે શોભાયાત્રાનું સમાપન થયું હતું. અહીં ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને એક સભાનું આયોજન કરાયું હતું. વક્તાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન સંઘર્ષ અને યોગદાન વિશે પ્રવચનો આપ્યા હતા. ત્યારબાદ સૌએ સાથે સમૂહ ભોજન લીધું હતું. આ પ્રસંગે રામજીભાઈ ચાવડા, મોહનભાઈ રાઠોડ, પ્રવિણભાઈ રાઠોડ, દિપેશભાઈ રાઠોડ, કાનજીભાઈ ચૌહાણ, કિશોરભાઈ માકેશા, વી.કે. ઝાલા, અશ્વિનભાઈ મેરિયા, આશિષભાઈ સોલંકી, નરેશભાઈ ચૌહાણ, નારણભાઈ મેરીયા તેમજ સમતા બુદ્ધ વિહાર બોટાદના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા.
મહેસાણા શહેર માટે વિકાસના નવા દ્વાર ખોલતા રાજ્ય સરકારે તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહેસાણાના 'કમલમ' ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી ઋષિકેશ પટેલે આ ઐતિહાસિક નિર્ણયની માહિતી આપી હતી. આ જાહેરાતના બીજા જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમોની વિગતમુખ્યમંત્રી આવતીકાલે મહેસાણામાં ત્રણ મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. 62 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાસ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કુલ 467 બેઠકોમાંથી 62 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. તેમણે દાવો કર્યો હતો કે બાકીની તમામ બેઠકો પર પણ ભાજપ પ્રચંડ વિજય મેળવી ભગવો લહેરાવશે. પક્ષમાં આંતરિક વિખવાદ કે ખેડૂતોના વિરોધના આક્ષેપોને નકારી મંત્રીએ ઉમેર્યું કે કાર્યકરો એકજૂથ છે અને ભારે ઉત્સાહ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ છે તે પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવા અને બેઠકો બિનહરીફ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે પોતાના અનેક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. સરખેજ, ચાંદખેડા અને ઘાટલોડીયા જેવા વિસ્તારોમાં ઉમેદવારોને ધાક-ધમકી અને નાણાકીય લાલચ આપવામાં આવતી હોવાની ફરિયાદો પ્રદેશ સમિતિ સુધી પહોંચી છે. ઉમેદવારનું રાજીનામું અને અન્યનો 'અજ્ઞાતવાસ'સરખેજ વોર્ડમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા વિવાદ સર્જાયો છે. આ ઉમેદવારનો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સાથેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેમણે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આ જ વોર્ડના અન્ય બે ઉમેદવારો છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણા છે. તેમના ફોન સ્વીચ ઓફ હોવાથી તપાસ કરતા માલૂમ પડ્યું છે કે તેમને પરિવાર સાથે કોઈ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 'મારા પત્ની બે દિવસથી ઘરે નથી'ઉમેદવાર કંચનબેન પ્રજાપતિના પતિ કરસનભાઈએ જણાવ્યું હતું કે, મારા પત્ની બે દિવસથી ઘરે નથી. ત્રણ દિવસ પહેલા પરિવાર સાથે ગાડીમાં લઈ જવામાં આવ્યા છે. મારા પાસે ફોન નથી એટલે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ગઈકાલે કેટલાક લોકો કંચનબેન ઘરે છે કે નહીં તે પૂછવા માટે આવ્યા હતા. પરંતુ મારા પત્ની ઘરે ન હોવાથી તે લોકો પરત જતા રહ્યા હતા. આવતીકાલે આવી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. મને પણ મળ્યા વગર તેમણે ક્યાંક લઈ જવામાં આવ્યા છે. કોને મોકલ્યા છે તેવું મને ખબર જ નથી. 'ફોર્મ પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે'વધુમાં કરસનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આસપાસના કેટલાક લોકો કંચન છે કે નહીં પૂછવા માટે અને જોવા મળે આવે છે. અમે તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ. આ તો મારી પત્નીને કોંગ્રેસે ટિકિટ આપી દીધી છે. અમે વર્ષોથી ભાજપને જ વોટ આપતા હતા. એક પણ રૂપિયો લીધા વગર ભાજપને જ વોટ આપીએ છીએ. બીજી કોઈ પાર્ટીને વોટ આપ્યો નથી પરંતુ હવે પત્નીને ટિકિટ આપી દીધી છે એટલે વોટ આપવો પડશે. ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ પાછું ખેચવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી લાગે ક્યાંક લઈ ગયા છે. પૈસાની ઓફર અને ધાક-ધમકીના આક્ષેપોચાંદખેડા, ઘાટલોડીયા અને જોધપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ પ્રદેશ સમિતિને લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે વિનોદભાઈ પટેલના માણસો દ્વારા ફોર્મ પરત ખેંચવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓના કથિત ત્રાસ અને દબાણને કારણે ઉમેદવારો પોતાના નાના બાળકો સાથે ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સત્તાના જોરે લોકશાહી ઢબે થતી ચૂંટણીને પ્રભાવિત કરી વોર્ડ બિનહરીફ કરવાના પેતરા કરી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ચેન સ્નેચિંગ અને વાહન ચોરીની ઘટનાઓ આચરતી ચીખલીગર ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે ગેંગના એક મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ₹1.36 લાખની સોનાની ચેઇન જપ્ત કરવામાં આવી છે. એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજાસિંહ નરસિંગ બાધા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પર 24થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીનો ભાઈ અને અન્ય સાથીઓ હાલ ફરાર છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો કામે લાગી છે. આ બંને ભાઈઓ છેલ્લા દસ વર્ષથી વાહન ચોરી અને ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા હતા. આ ગેંગ મહેસાણા, રાધનપુર, જૂનાગઢ, ભુજ, મોરબી અને ડીસા સહિત અનેક શહેરોમાં સક્રિય હતી. હાલમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
15 એપ્રિલ સુધી સામ,દામ,દંડ અને ભેદનો ખેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ક કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય.. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે. કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે છુપાવી દીધા છે. આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિત ચાવડાના ભાજપ પર ગંભીર આક્ષેપ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ.. કહ્યું ભાજપના નેતાના ત્રાસથી અને ફોર્મ રદ કરાવવાના દબાણમાં ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી લીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના ઉમેદવારે આપ્યો પડકાર સુરતથી આપના ઉમેદવાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે ચેલેન્જ આપતા કહ્યું કે મેયર હોય કે નરેન્દ્ર મોદી, મારે શું ફરક પડે. 'વારાણસીથી ટિકિટ આપે તો 2.51 લાખ મત ન લાવું તો રાજનીતિ છોડવા તૈયાર છું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારનો વિરોધ વડોદરામાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણનો વિરોધ .. વોર્ડ નંબર- 7માં શ્વેતા ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે લોકો તેમની નિષ્ક્રિયતાને લઈને રોષે ભરાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'આપ'ના 40 ઉમેદવારો અજ્ઞાત સ્થળે ખસેડાયા કોંગ્રેસ બાદ હવે 'આપ'ના 40 ઉમેદવારો અજ્ઞાત સ્થળે ખસેડાયા.. ભાજપ તોડજોડની રાજનીતિ બાબતે ભાજપે કહ્યુ કે અમે માત્ર વિકાસની રાજનીતિ કરીએ છીએ. અમારી લીટી લાંબી કરવામાં અમને રસ છે. બીજાની ભૂંસવામાં કોઈ રસ નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ભીષણ આગ સુરતના મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં અને આગ લાગી વેડ રોડ પર ઘડિયાળના કારખાનામાં ભીષણ આગ લાગી .. બન્ને ઘટનામાં કોઇ જાનહાનિ નહી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોંગ સાઈડ આવતી કાર અને બાઈક વચ્ચે અકસ્માત મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર રોંગ સાઈડ આવતી કાર સાથે બાઈક ધડાકાભેર અથડાઈ. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું..જ્યારે મહિલા અને બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાડાની સ્કોર્પિયોથી ત્રણ મહિલાઓેને ઉડાવી સુરતના મોટા વરાછામાં ભાડાની સ્કોર્પિયોએ 3 મહિલાઓને અડફેટમાં લીધી. .અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થઈ છે. સ્કોર્પિયો 19 વર્ષનો યુવક ચલાવી રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરિણીત પ્રેમી યુગલનો આપઘાત ભરૂચના ઝગડિયામાં એક પરિણીત પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી.. મૃતક યુવક અને યુવતી 4 એપ્રિલથી જ ગુમ હતા .. .બંનેને 2-2 સંતાનો હતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક કમોસમી વરસાદનો માર રાજ્ય પર વધુ એક કમોસમી વરસાદની ઘાત..19-20 એપ્રિલે છ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એક બાદ એક કમોસમી વરસાદના ઝાપટા પડી રહ્યા છે, પણ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વેરાવળમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ:સીતારામ મહિલા મંડળ દ્વારા આયોજન, રાકેશભાઈ પંડયા કથાકાર
વેરાવળના જુનાગઢ હાઈવે પર આવેલી હુડકો સોસાયટીમાં શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનો પ્રારંભ થયો છે. શ્રી સીતારામ મહિલા ધુન મંડળ દ્વારા આયોજિત આ કથા ૧૧ એપ્રિલ, ૨૦૨૬ થી ૧૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાશે. ભોજદે (ગીર) ના શાસ્ત્રી રાકેશભાઈ પંડયા (શ્રીરાધે) દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. હુડકો સોસાયટીના શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર પાસે શ્રી સીતારામ મહિલા ધુન મંડળ છેલ્લા બાર વર્ષથી સક્રિય છે. આ મંડળ સોસાયટીના તમામ વર્ગના લોકોને સાથે રાખીને સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેઓ દર વર્ષે રાસ-ગરબા, રામધુન, ભજન-કીર્તન સહિત આરોગ્યલક્ષી સેવાઓ પણ પૂરી પાડે છે. કથા દરમિયાન વિવિધ પાવન ઉત્સવો ઉજવાશે. ૧૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ દેહશુદ્ધિ (હેમાદ્રી) અને પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં શિવ માહાત્મ્ય કથા અને શિવલિંગ પ્રાગટ્ય થયું હતું. કથાના મુખ્ય ઉત્સવોમાં ૧૩ એપ્રિલે શિવપૂજા માહાત્મ્ય, ૧૪ એપ્રિલે સતી પ્રાગટ્ય, ૧૫ એપ્રિલે શિવ વિવાહ, ૧૬ એપ્રિલે તારકાસુર વધ અને ૧૭ એપ્રિલે દ્વાદશ જ્યોતિર્લિંગ કથાનો સમાવેશ થાય છે. કથાનું સમાપન ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે થશે. કથાના બીજા દિવસે, ૧૩ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ, શ્રી સીતારામ ધુન મંડળના આમંત્રણથી વેરાવળ સીટી પીઆઈ ગઢવીસાહેબ, દેવાયતભાઈ ઝાલા, અતુલભાઈ કોટેચા, મુકેશભાઈ ચોલેરા, અનિસ રાચ્છ, જનકભાઈ પારેખ (નિરાધારના આધાર) સહિત શહેરના અનેક શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોએ કથાનું શ્રવણ કર્યું હતું. આ મહાનુભાવોએ વ્યાસપીઠે શાસ્ત્રીજીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. શિવ મહાપુરાણના અંતિમ દિવસે સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. યજમાનો અને દાતાઓને પ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અનુદાન તેમજ પ્રસાદી સામગ્રી સ્વીકારવા માટે મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પુજારી ભરત બાપુ ગૌસ્વામી અને રાજુભાઈ શર્માનો સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યું છે.
કલોલ તાલુકાના ધમાસણા ગામમાં રહેતી અને વાવોલ ખાતે બ્યુટી પાર્લરમાં કામ કરતી 30 વર્ષીય પરિણીતાનું ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજતા બે વર્ષની માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. કાકાના તારાપુર પાસે આવેલા ભોયણ ટીંટોડા ફાટક નજીક પૂરપાટ ઝડપે બોલેરો ગાડીના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોલેરો ચાલકે એક્ટિવા સવાર મહિલાને ટક્કર મારીપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલોલના ધમાસણા ગામના મહાદેવ વાળા વાસમાં રહેતા નિતીનભાઈ ત્રિવેદીના પત્ની અરૂણાબેન ગાંધીનગરના વાવોલ ખાતે સિધ્ધાર્થ સ્કાય લાઈન ફ્લેટમાં બ્યુટી પાર્લરનું કામ કરતા હતા. ગઈકાલે સોમવારે સાંજના સમયે તેઓ પોતાનું એક્ટિવા લઈને નોકરીએથી પરત ઘરે જઈ રહ્યા હતાં. ડ્રાઈવર બોલેરો છોડીને ફરાર થયોઆ દરમિયાન ભોયણ ટીંટોડા ફાટક પાસે સામેથી આવતી બોલેરો ગાડી (નંબર GJ-18BT-9968) ના ચાલકે પૂરપાટ ઝડપે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જીને બોલેરો મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા નીતિનભાઈ સહિતના પરિચિતો સ્થળ પર દોડી ગયા હતા. બે વર્ષની માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવીત્યારે અરૂણાબેન રોડની સાઈડમાં લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડ્યા હતા. જેમને 108 એમ્બ્યુલન્સના તબીબે સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે બે વર્ષની માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગે કલોલ ડિમાર્ટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા નીતિનભાઈની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસના પવિત્ર અવસરે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહીદ જવાનોને યાદ કરી અંજલિ અર્પવામાં આવી હતી. આ વર્ષની ઉજવણીમાં સુરત ફાયર વિભાગ માટે બેવડા આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં દ્વારકા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની ફાયર ડ્રિલ સ્પર્ધામાં સુરતની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટથી 66 જવાનો શહીદ થયા હતાંભારત સરકાર દ્વારા દર વર્ષે 14મી એપ્રિલને અગ્નિશામક સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પાછળ એક કરુણ અને શૌર્યપૂર્ણ ઇતિહાસ જોડાયેલો છે. 14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડ ખાતે બ્રિટીશ માલવાહક જહાજ એસ.એસ. ફોર્ટ સ્ટાઈકીનમાં ભયાનક વિસ્ફોટ અને આગ લાગી હતી. આ દુર્ઘટનામાં જનતા અને સંપત્તિના રક્ષણ માટે મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનો શહીદ થયા હતાં. તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં 19 જવાનોએ શહીદી વહોરી હતી2 જાન્યુઆરીએ, 1981 ઝાંપા બજાર મકાન દુર્ઘટનામાં 1 ફાયર ઓફિસર અને 4 ફાયરમેન શહીદ થયા હતાં. 14 ડિસેમ્બર, 1991 કતારગામની મુકેશ ડાઇંગ મિલમાં લાગેલી આગમાં 1 ફાયર ઓફિસર અને 18 ફાયરમેન મળી કુલ 19 જવાનોએ શહીદી વહોરી હતી. આ શહીદોની સ્મૃતિમાં સુરતના અઠવાગેટ, ચોપાટી ખાતે સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ સ્મારક ખાતે 1966નું ઐતિહાસિક મેરી વેધર ફાયર એન્જિન પણ સ્થાપિત છે. ફાયર ડ્રિલ કોમ્પિટિશનમાં 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા14 એપ્રિલ 2026ના રોજ દ્વારકા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની ફાયર ડ્રિલ કોમ્પિટિશનમાં સુરત મનપાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટીમે પોતાની વ્યાવસાયિક કુશળતા અને ટીમવર્ક દ્વારા 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને સુરતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં વિભાગમાંથી 1 ઓફિસર, 3 લીડિંગ ફાયરમેન અને 3 ફાયરમેનની ટીમ મોકલવામાં આવી હતી. આગમાં ફસાયેલા 125 કામદારોનું સફળતાપૂર્વક રેસ્ક્યુસુરત જેવા ગીચ વસ્તી અને ઔદ્યોગિક એકમો ધરાવતા શહેરમાં ફાયર વિભાગની જવાબદારી અત્યંત મહત્વની છે. ગત વર્ષે શહેરમાં કુલ 7,804 જેટલા આગ અને અકસ્માતના બનાવો નોંધાયા હતા. ફાયર વિભાગે અનેક રેસ્ક્યુ કામગીરીઓ સફળતાપૂર્વક પાર પાડી છે, જેમાં સિંગણપોર ખાતે 22 વિદ્યાર્થીઓને સુરક્ષિત બચાવ્યા હતા. વરેલી ખાતેની આગમાં ફસાયેલા 125 કામદારોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 78.16 કરોડના ખર્ચે આધુનિક સાધનોશહેરના ઝડપી વિકાસને જોતા, વર્ષ 2026-27 માટે ફાયર વિભાગના અપગ્રેડેશન માટે રૂ. 78.16 કરોડના ખર્ચે પ્રસ્તાવ તૈયાર કરાયો છે. જેમાં 104 મીટર ઊંચાઈ ધરાવતું એરિયલ લેડર પ્લેટફોર્મ, ડ્રોન કેમેરા, સ્માર્ટ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અને અન્ડરવોટર સોનાર સ્કેનર જેવા આધુનિક સાધનો વસાવવામાં આવશે. એક સપ્તાહ સુધી ફાયર સર્વિસ વીકની ઉજવણી થશેઆ અવસર પર સુરત મહાનગરપાલિકા દ્વારા એક સપ્તાહ સુધી ફાયર સર્વિસ વીકની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં રોડ શો, આધુનિક સાધનોનું પ્રદર્શન, શાળાઓ અને મોલમાં મોક ડ્રિલ દ્વારા નાગરિકોને અગ્નિ સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવશે. અંતમાં ફાયર વિભાગે તમામ નાગરિકોને ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.
રતનપર-પોપટપરા રસ્તાનું સમારકામ શરૂ:ચોમાસામાં ધોવાયેલો માર્ગ ફરી બનશે, લાંબા ફેરામાંથી છુટકારો
સુરેન્દ્રનગરના રતનપર અને પોપટપરાને જોડતા બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ભોગાવો નદીમાં પાણી આવવાને કારણે આ કાચો રસ્તો ધોવાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો અને તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. રસ્તો ધોવાઈ જવાથી રતનપરના રહેવાસીઓને સુરેન્દ્રનગર જવા માટે લાંબો ફેરો કરવો પડતો હતો, જેનાથી તેમનો સમય અને ઇંધણનો વ્યય થતો હતો. હવે આ મહત્વપૂર્ણ માર્ગના સમારકામની કામગીરી શરૂ થતાં સ્થાનિક શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ રસ્તાનું સમારકામ માટી અને રેતીના ઉપયોગથી કરવામાં આવશે અને તે લગભગ ત્રણ દિવસમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 16માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો જાણવા દિવ્ય ભાસ્કર પોહચ્યું છે ઈલેક્શન વોર્ડ નંબર 16નો ચિતાર મેળવવા માટે. આ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના, કોંગ્રેસના બે કોર્પોરેટર રહ્યા છે. આ વોર્ડમાં ખાસ કરીને સોમા તળાવ અને ગાજરાવાડી સહિત પ્રતાપનગર વિસ્તાર મોટો છે. અહીંયા ખાસ કરીને પાણી, ડ્રેનેજ સહિતની સમસ્યાઓ છે. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ કતલખાનું આસપાસની અનેક સોસાયટીઓ માટે માથાનો દુખાવો બન્યું છે. આ વિસ્તારના રહીશો ચોવીસ કલાક દુર્ગંધ વચ્ચે જીવી રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે અહીંયા મહેમાન આવે તો દુર્ગંધથી ભાગી જાય છે. આ વિસ્તારમાં જોઈએ તેટલો વિકાસ થયો નથી અને સ્લમ વિસ્તારોમાં સ્થિતિ ત્યાંની ત્યાજ છે. ગાજરાવાડી વિસ્તારના કતલખાનાના કારણે લોકો ત્રાહિમામઆ વોર્ડમાં સૌથી મોટી સમસ્યા ગાજરાવાડી વિસ્તારમાં આવેલ કતલખાનું છે, જ્યાં આસપાસ રહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે અમે અહીંયા આસપાસ રહેતા સ્થાનિકો સાથે વાતચીત કરતા સ્થાનિક શારદાબેને જણાવ્યું હતું હતું કે, અહીંયા બહુ જ ગંદકી છે. નાના નાના છોકરાઓ અહીં રહે છે અને અહીં બધે જીવજંતુઓ ફરે છે. જેના કારણે અહીંયા વાસ આવે છે કે અમને જમવાનું પણ ભાવતું નથી. કોઈ મહેમાન આવે તો તે પણ ભાગી જાય છે. અહીંના સ્થાનિક મહિલા સંતોકબેને જણાવ્યું હતું કે, અમે પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ અને અહીંયા ગંદકી બહુજ છે. અહીંયા કોઈ આવતું નથી અને કોઈ ધ્યાન આપતું નથી. ચૂંટણી આવે ત્યારે કોઈ આવે છે. આવે ત્યારે વાયદા કરે છે, પરંતુ કરતા નથી. અમારા જે કામ કરશે તેને વોટ આપીશું બાકી નહીં આપીએ. કતલખાનની નજીક આવેલ વિશ્વકર્માનગરમાં રહેતા અલ્પેશભાઈએ જણાવ્યું કે, અહીંયા ખુબજ પરિસ્થિતિ ખરાબ છે, મહેમાન પણ આવી શકતા નથી. પાછળ કતલખાનું આવેલું છે, જેથી બહુજ દુર્ગંધ મારે છે. બહુ હેરાન થઈએ છીએ, અહીંયા બેસવાની પણ જગ્યા નથી. અહીંયા ગટર અંગે અનેકવાર રજૂઆત કરી પરંતુ કઈ થતું નથી સાથે પાણીની સમસ્યા છે. સાથે અહીંયા ગંદકી અને કતલ ખાનના કારણે લોકો બીમાર રહે છે. ગંદકી અને દુર્ગંધના કારણે અમારે ત્યાં કોઈ મહેમાન પણ આવતા નથીઃ વિશાલઆ વોર્ડમાં રહેતા રોશનીબેને જણાવ્યું કે, અહીંયા ગંદકી ખુબજ છે જેથી છોકરાઓ બીમાર પડે છે. પાછળથી જીવજંતુ આવે છે અને મુશ્કેલી થાય છે. અહીંયા કોઈપણ પ્રકારની સુવિધા નથી. અહીંયા બ્લોક પણ નથી કે ટોયલેટની સુવિધા આપવામાં આવી છે. ચૂંટણી આવેને ત્યારે ખાલી ખાલી શોબાજી મારવા અહીંયા આગળ બધા આવશે. આ વિસ્તારને કચરાપેટી બનાવેલી છે અહીંયા લોકો કપડા અને અન્ય ચીજ વસ્તુઓ નાખી જાય છે. જેથી અહીંયા દુર્ગંધ માટે છે. સુએઝ પમ્પિંગ પાસે આવેલ ગાજરાવાડી વિસ્તારમાં રહેતા વિશાલભાઇ જણાવ્યું હતું કે, અહીંયા પાણી આવે છે પરંતુ પાછળ કતલખાનું હોવાથી બહુજ દુર્ગંધ મારે છે. અહીંયા મહેમાન આવી શકતા નથી અને નાના નાના બાળકો બીમાર પડે છે. આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું ઇચ્છી રહ્યા છીએ. આ સાથે સ્થાનિક ગિરધરભાઇએ જણાવ્યું કે, વરસાદ આવે તો ઘરમાં પાણી ભરાઈ જાય છે અને ક્યાં ઊભા રહેવું તે સમજાતું નથી. અમને કઈ સમજાતું નથી અમારે કોને કહેવું, અમે પંદર વર્ષથી વડોદરામાં આવ્યા છીએ. રોડ રસ્તામાં પાણી ભાઈ જાય છે. સોમા તળાવ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવોઃ મનોજ ઠાકોરસોમા તળાવ વિસ્તારમાં વર્કશોપ ચલાવતા મનોજ ઠાકોરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અહીંયા રોડ રસ્તા જુઓ તો બરાબર છે, પણ અહીંયા આગળ કાયમની એક સમસ્યા થઈ ગઈ છે, જે સોમા તળાવ ચાર રસ્તા પર ટ્રાફિક એટલો બધો થઈ જાય છે કે જેમાંથી કોઈ કામ જો ટાઈમે પહોંચવાનું હોયને તો નીકળવું મુશ્કેલ થઈ જાય છે. જો કોર્પોરેશન વિચારે અને આગળ ચાર રસ્તા પછી જો કોઈ એની લેન્ડ હોય અને ત્યાં પીકઅપ સ્ટેન્ડ બનાવેને તો પીકઅપ સ્ટેન્ડ બનાવવાથી એ મહદઅંશે અહીંનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પીકઅપ સ્ટેન્ડ બનાવવાથી મોટી જે ટ્રાવેલ હોય કે સરકારી બસ હોય એમને ત્યાં આગળ પેસેન્જરને ઉતારી અને ત્યાંથી પેસેન્જર એની રીતે સિટીની અંદર રિક્ષા દ્વારા જાય તો રિક્ષાવાળાને પણ ત્યાંથી સિટીની રોજીરોટી મળે અને મહદઅંશે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું મારું એક સજેશન છે. વધુમાં કહ્યું કે, ચોમાસાની અંદર પણ હવે આ નવી પાઈપોને લગભગ હાઈવે પર નાખ્યું એટલે કદાચ હવેનો વરસાદ આવે એમાં ચેક કરીશું, બાકી તો અહીંયા આગળ અમારા વર્કશોપોની અંદર એક-એક ફૂટ પાણી હોય છે. જેનાથી મશીનરીને બધું ડેમેજ થાય છે. એટલા સારા એવું રોડ રસ્તા બનતા હોય અને પછી આ પરિસ્થિતિ થતી હોય તે સારી બાબત નથી. અમારા એમાં કેટલા રૂપિયા બગડે છે,અને વર્કશોપની અંદર લગભગ મશીનરીને રિપેર થતાં બે-ત્રણ મહિના લાગે છે. આ અંગે અહીંના કોંગ્રેના વોર્ડ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં પાણીની મોટી સમસ્યા છે. અહીંયા હાઇવેથી આવતું પાણી ચોમાસામાં ઘૂંટણસમાન ભરાઈ જાય છે. બીજું કે અમુક સોસાયટીમાં ગંદુ પાણી આવે છે. જે વર્ષોથી આવ્યા કરે છે, લોકો બૂમો પાડે છે. એમાં ખાસ સ્લમ એરિયામાં વધારે ગંદુ પાણી આવે છે. વધુમાં કહ્યું કે, સોમા તળાવ વિસ્તારમાં આવેલ ચાર રસ્તા ઉપર ટ્રાફિકનો બહુ મોટો સમસ્યા છે. સવારે પડે એટલે એટલી ટ્રાફિક થઈ જાય છે કે અડધા પોણા-પોણા કિલોમીટર સુધી ટ્રાફિક હોય છે. બીજું કે અમારા વિસ્તારમાં સ્લોટર હાઉસ આવેલું છે. અહીંયા વર્ષોથી કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જેનું કાયમી નિરાકરણ જોઈએ છે. અહીંના આસપાસ રહેતા લોકો અને સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે અને શહેરની બહાર લઈ જવામાં આવે તેવું ઇચ્છી રહ્યા છીએ. વડોદરા મનપામાં ખોદો અને જોડોનો ધંધો ચાલે છે:ચંદ્રકાંત શ્રીવાસ્તવઆ અંગે અમે આ વોર્ડમાં વર્ષોથી જીતતા કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ( ભથ્થુભાઈ)એ જણાવ્યું હતું કે, આ વિસ્તારના ગાજરાવાડી વિસ્તારમાં સુએજ પમ્પિંગ સ્ટેશન અને અહીંયા આવેલ કતલખાનાથી રહીશો ત્રસ્ત થયા છે. અહીંના લોકો બિમારીથી પીડાઈ રહ્યા છે, અહીંયા દીકરીને કોઈ આપતું નથી, જેનું કોઈ ત્રીસ વર્ષ સુધી નિરાકરણ આવ્યું નથી તો ક્યાં વિકાસની વાત આવે છે. અહીંયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન આવેલ છે જે ચાલતો નથી, અને કોઈ પણ પ્રોસેસ વગર પાણી રૂપારેલ કાંસમાં છોડવામાં આવે છે. વધુમાં કહ્યું કે, અહીંયા સ્વાસ્થ્યની ચિંતા કરવાં આવતી નથી, દરેક સોસાયટી, ઝૂંપડપટી અને દરેક વસાહતમાં ચાર દિવસ પાણી શરૂ આવે પછી ખરાબ આવે છે. પાંચ વર્ષ સુધી માત્ર લોકો ફરિયાદ જ કરતા રહે છે. અહીંયા ખોદો અને જોડોનો ધંધો ચાલે છે, પોતાના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અમારા વિસ્તારમાં છોકરાઓને રમવા માટે એકપણ મેદાન આપવામાં આપ્યું નથી. વરસાદી કાંસમાં ગટરની પાણી બારેમાસ વહે છે, અમુક લોકોને દસ વીસની સ્ટેમ્પમાં મકાનો બનાવી આપ્યા તો એની ગરીબોએ શું ભૂલ કરી છે. અહીંયા ગેરકાયદેસર અને વિકાસના નામે ઝૂંપડપટી તોડી દેવામાં આવે છે. વધુમાં કહ્યું કે, ત્રીસ વર્ષમાં માત્ર વિકાસની વાતો, ઉદ્ઘાટનો અને લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યો છે. જેમાં જેમ સમય જાય છે તેમ વિકાસ થાય છે પરંતુ સુવિધાઓ મળતી નથી. માલેતુજારની નીતિ ચાલે છે. અમે લડી લડીને કામ કરીએ છીએ. અમે લોકોના મતથી જીતીએ છીએ અને હોય જીત્યા પછી બધા સાહેબ થઈ જાય કાર, હું ક્યારે સાહેબ થયો નથી હું સેવક છું. જ્યાં સુધી મારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું લડતો રહીશ.
TCL સીઝન 4 સુરતમાં સંપન્ન:અમદાવાદની શાઇનિંગ સ્ટાર્સ ટીમે ટ્રોફી જીતી, લેજન્ડ્સ રનર અપ
સુરતમાં આયોજિત TCL (ટોપ ચેમ્પિયન્સ લીગ) ક્રિકેટ ટુર્નામેન્ટની ચોથી સિઝનનું સફળતાપૂર્વક સમાપન થયું છે. એલ. પી. સાવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ નોન-પ્રોફેશનલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદની શાઈનિંગ સ્ટાર્સ ટીમે વિજેતાનો ખિતાબ જીત્યો, જ્યારે લેજન્ડ્સ ટીમ રનર અપ રહી. બે દિવસ સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ઇવેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું હતું. આ સિઝનમાં ભાગ લેનાર ટીમોમાં ચક દે 1, ધ લેજન્ડ, પોલીસ ટીમ, શક્તિ ટીમ, શાઈનિંગ સ્ટાર્સ, ડોમિનેટર્સ, સ્ટેલર સ્ટ્રાઈકર્સ અને પ્રીતિ જોશી ટીમનો સમાવેશ થતો હતો. ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં શાઈનિંગ સ્ટાર્સ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી હતી. લેજન્ડ્સ ટીમે પણ ઉત્તમ રમત દેખાડી હતી અને દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ પ્રસંગે TCLના સ્થાપક નિમિષા શાહે આ સિદ્ધિને ગૌરવભર્યો ક્ષણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે TCLને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું તેમનું સ્વપ્ન છે અને આ પ્લેટફોર્મ મહિલાઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા તથા રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આ ટુર્નામેન્ટની ખાસ વાત એ હતી કે તેમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ નોન-પ્રોફેશનલ હતા. ગૃહિણીઓ, ડોક્ટર્સ, એડવોકેટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને વિવિધ ક્ષેત્રોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો પ્રદર્શિત કર્યો હતો. આ ઇવેન્ટને સફળ બનાવવા માટે વિવિધ પાર્ટનર્સનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો, જેમાં રિલાયન્સ ડિજિટલ (ઇલેક્ટ્રોનિક્સ પાર્ટનર), રિલાયન્સ સ્માર્ટ (ગ્રોસરી પાર્ટનર), સ્વાદ (ઓથેન્ટિક ફૂડ પાર્ટનર), કુશલભાઈ જ્વેલર્સ (ગિફ્ટિંગ પાર્ટનર), લેઝરબ્લિસ (ગિફ્ટિંગ પાર્ટનર), સ્મોઇકી ચિલ (ફૂડ પાર્ટનર) અને જે.કે. માર્કેટિંગ એન્ડ ઇવેન્ટ્સ (માર્કેટિંગ પાર્ટનર)નો સમાવેશ થાય છે. TCL સુરત સિઝન 4 એ મહિલા ક્રિકેટમાં નવી ઉર્જા ભરી છે અને ભવિષ્યમાં આ પ્રકારની સ્પર્ધાઓને વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
અમરાઈવાડીમાં ડૉ. આંબેડકર જન્મજયંતિ ઉજવાઈ:800થી વધુ લોકોને ખીચડી-છાશનો મહાપ્રસાદ અપાયો
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની અમરાઈવાડી ખાતે ઉજવણી કરવામાં આવી. રાહી ફાઉન્ડેશનના સૌજન્યથી અને અનુસૂચિત જાતિ સંગઠન, અમરાઈવાડીના ઉપક્રમે મેટ્રો પિલર ૨૬ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૮૦૦થી વધુ લોકોને વેજિટેબલ ખીચડી અને મસાલા છાશનો મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંકલન અને વ્યવસ્થા અનુસૂચિત જાતિ સંગઠનના જગદીશ પીલુચીયા અને તેમના સાથીદારોએ કરી હતી. રાહી ફાઉન્ડેશન દ્વારા ખીચડી અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયેશ પરીખ, નિહારિકા પરીખ, મહેન્દ્ર પટેલ, શરદ જાદવ, બાબુલ કાકા, વિજય દલાલ અને માર્કંડભાઈએ વિતરણ વ્યવસ્થાનું સંચાલન કર્યું હતું.
શાનેન સ્કૂલ CBSE (જે સી ગ્રુપ) દ્વારા વિદ્યાર્થીઓ માટે બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR) વિષય પર એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આજના યુગમાં IPRના મહત્વથી માહિતગાર કરવાનો હતો. આ સત્રમાં GUJCOSTના IPR અધિકારી પ્રિયા ગાડકરીએ વિદ્યાર્થીઓને IPRનો પરિચય કરાવ્યો. તેમણે IPRનું મહત્વ, તેના વિવિધ પ્રકારો, નોંધણી પ્રક્રિયા અને તેનો વ્યવહારિક ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપી. પ્રિયા ગાડકરીએ સર્જનાત્મકતા અને નવીનતાને કાયદેસર રીતે કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે અંગે પણ સમજાવ્યું. તેમણે સરળ અને પ્રાયોગિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને આ વિષયની ઊંડાણપૂર્વક સમજ આપી. વિદ્યાર્થીઓએ આ સત્રમાં ખૂબ ઉત્સાહ અને રસપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતા અને બૌદ્ધિક માલિકી પ્રત્યે વધુ જાગૃતિ અને રસ પેદા થયો.
ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે 19 અને 20 એપ્રિલે સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં પાંચ દિવસ સુધી સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. તેમજ આગામી દિવસમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ જ રહેવાની શક્યતા છે. સાથે જ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવન અને માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશેરાજ્યમાં ઉનાળાની ગરમી વચ્ચે મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે તેવી શક્યતા છે. તેમજ પવનની ગતિમાં વધારો નોંધાશે અને 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે. અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશેરાજ્યના મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આગામી દિવસોમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ જ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટમાં તો ગરમીનો ત્રાસ વધુ ગંભીર બન્યો છે, જ્યાં તાપમાન 42.4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ગરમીના વધતા પ્રભાવને કારણે લોકો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. 19-20 એપ્રિલે છ જિલ્લામાં વરસાદની આગાહીજોકે હાલ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. અલનીનો અસરને કારણે દેશમાં તેમજ ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચાંલ્લાઓળ પરબડીના ખાંચો, માણેકચોક ખાતે યુવક મંડળ દ્વારા ચૈત્ર વદ દસમ, રવિવાર, તારીખ 12 એપ્રિલ, 2026 ના રોજ નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં યુવક મંડળના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને શ્રી માં અંબે માતાના હવનમાં શ્રીફળ હોમીને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. હવન પૂર્ણ થયા બાદ માં અંબેની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તોએ સાથે મળીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ થાનગઢ તાલુકાના મોરથળા ગામની સીમમાંથી જમીનમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ₹53,400નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપી વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક વેદિકા બિહાની (IPS) એ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ખાસ પેટ્રોલિંગ અને પરિણામલક્ષી કામગીરી કરવા LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ ટીમો બનાવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. બાતમીના આધારે, મોરથળા ગામની સીમમાં જમીનમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની 137 નાની-મોટી બોટલો, જેની કિંમત ₹43,500 છે, અને 45 બિયર ટીન, જેની કિંમત ₹9,900 છે, તે મળી આવ્યા હતા. કુલ ₹53,400નો પ્રોહીબિશનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં મોરથળા ગામના વિશાલ જેસાભાઈ રાઠોડનું નામ ખુલ્યું છે, અને તેની સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, પો.હેડ કોન્સ. પ્રવિણભાઈ કોલા અને પો.કોન્સ. વજાભાઈ સાનીયા સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.
ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું એક જૂથ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ ના સભ્યો છેલ્લા 3 વર્ષથી સતત શહેરીજનોને ઠંડુ પાણી પૂરું પાડી રહ્યા છે, જે દર્શાવે છે કે પોલીસની ફરજ નિવૃત્તિ પછી પણ સમાપ્ત થતી નથી. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર કામ કરતા શ્રમિકો, રાહદારીઓ અને અન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. શહેરમાં અનેક પરબો બંધ હોવાથી લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને મોંઘી બોટલનું પાણી ખરીદવું સામાન્ય વર્ગ માટે શક્ય નથી. સ્વખર્ચે ઠંડા પાણીની વ્યવસ્થા આવી કપરી પરિસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાનો દીવો પ્રગટાવ્યો છે. જૂથના સભ્યો ફાળો એકત્રિત કરીને શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. મુખ્ય સ્થળો: સ્ટેશન પોલીસ ચોકી, સીટી સેન્ટર સામે, પાંચબત્તી અને શક્તિનાથ. વિતરણ: દરરોજ 10થી 15 જેટલા પાણીના જગ મૂકવામાં આવે છે. નિવૃત્તિ એ સેવાનો વિરામ નથી નિવૃત્ત પોલીસ કર્મી પ્રદીપ મોઘે જણાવ્યું હતું કે, આ સેવા માત્ર તરસ છીપાવવા પૂરતી સીમિત નથી, પરંતુ સમાજને એ સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ લોકોની સેવા કરી શકાય છે. આ સમગ્ર પ્રવૃત્તિનો ખર્ચ પોલીસ ગ્રૂપ પોતે જ ઉઠાવે છે. નિવૃત્ત પોલીસ કર્મચારીઓની આ પહેલથી શહેરીજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આ સેવાકીય કાર્યએ સાબિત કર્યું છે કે પોલીસ વિભાગ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ સમાજ પ્રત્યેની અવિરત જવાબદારી છે.
Chhattisgarh Vedanta Power Plant Blast : છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનામાં 10થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને 30થી 40 શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બોઈલર ફાટ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો રિપોર્ટ મુજબ, રાજ્યના સક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાનો પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોઈલર ફાટ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો.
બોટાદ શહેરમાં 14 એપ્રિલ, 2026ના રોજ બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સૌપ્રથમ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બોટાદ શહેરના રાજમાર્ગો પર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આશરે 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલીમાં ઊંટ, ઘોડા અને ફોરવીલર કારો પણ સામેલ હતી, જેમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર રેલી દરમિયાન જય ભીમના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ડૉ. આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારવા માટે સંકલ્પો લીધા હતા. સ્થાનિક આગેવાનો અને નગરજનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રેલીના માર્ગ પર અનેક જગ્યાઓ પર ઠંડા પીણા, છાશ અને પાણીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રશાસનની હાજરીમાં આ રેલી ખૂબ જ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ હતી. બોટાદવાસીઓએ આ રીતે બાબા સાહેબ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરી હતી.
જામનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'નારી શક્તિ વંદના અધિનિયમ' દ્વારા લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખીને નારી શક્તિના સન્માનનો નવો યુગ શરૂ થશે. પ્રદેશ પ્રમુખે આ અધિનિયમને દેશના ઇતિહાસમાં એક સુવર્ણ કદમ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ કાયદો મહિલાઓને રાજકીય રીતે સક્ષમ બનાવશે અને તેમના પ્રતિનિધિત્વને નવી ઊંચાઈ આપશે. આગામી ૧૬મી એપ્રિલે સંસદમાં આ બાબતે વિશેષ ચર્ચાઓનું આયોજન થવા જઈ રહ્યું છે. વિશ્વકર્માએ વડાપ્રધાન મોદી દ્વારા મહિલા સશક્તિકરણ માટે લેવાયેલા અન્ય ઐતિહાસિક નિર્ણયોની પણ વિગતો આપી હતી. જેમાં ટ્રિપલ તલાક જેવી કુરિવાજ પ્રથા નાબૂદ કરવી અને ભારતીય સેનામાં મહિલાઓને કાયમી ધોરણે સ્થાન આપવા જેવા ક્રાંતિકારી કદમોનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય સનાતન પરંપરામાં નારીઓને મળેલા પૂજનીય સ્થાનને આધુનિક વ્યવસ્થામાં અમલી બનાવવાની વાત કરી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ વિનોદ ભંડેરી, પ્રભારી ધનસુખ ભંડેરી, સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યમંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રાઘવજી પટેલ, મેઘજી ચાવડા તેમજ પ્રદેશ સંગઠનના આશાબેન નકુમ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુંમર સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા.
પોલીસ ડોગ 'ચેકે' 16 વર્ષે ગોલ્ડ જીત્યો:નાગપુરમાં 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાતને ગૌરવ
મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025–26માં ગુજરાત પોલીસે સિદ્ધિ મેળવી છે. રાજ્યના પોલીસ ડોગ ‘ચેક’એ બે અલગ-અલગ કેટેગરીમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગુજરાત પોલીસના ડોગે 16 વર્ષના લાંબા અંતરાલ બાદ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. માર્ચ–એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં આયોજિત આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી વિવિધ ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાતના પોલીસ ડોગે 16 વર્ષના લાંબા અંતરાલ પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જે રાજ્ય માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી કે.એલ.એન. રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના કુલ 06 ડોગે ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધનો સમાવેશ થાય છે, જેમાં દરેક કેટેગરીમાં 02 ડોગ સ્પર્ધામાં ઉતર્યા હતા. ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે, “ગુજરાત પોલીસનો ‘ચેક’ ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે.” ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ‘ચેક’એ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સમગ્ર ઈવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ગુજરાત પોલીસે તૈયારીઓ શરૂ કરી હતી. રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે થોડા મહિના પહેલાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરની પોલીસ ડોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પસંદ કરાયેલા ડોગને વિશેષ તાલીમ આપવામાં આવી હતી અને કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ રાખવામાં આવ્યા હતા. કુલ નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી 06 એ વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો.
જામનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એક એન્જિનિયર યુવાન સાથે 25.86 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. AI જાહેરાતો દ્વારા બિછાવવામાં આવી જાળ શહેરની એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કમલેશ મહેશભાઈ તિર્થાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ છેતરપિંડી 28 એપ્રિલ 2024 થી 20 જુલાઈ 2024 દરમિયાન આચરવામાં આવી હતી. ઠગબાજોએ ઇન્સ્ટાગ્રામ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરી આકર્ષક જાહેરાતો મૂકી હતી, જેમાં શેરબજારમાં રોકાણ દ્વારા માતબર નફો મેળવવાની ખાતરી આપવામાં આવી હતી. ખોટી ઓળખ આપી વિશ્વાસ કેળવ્યો જાહેરાત પર સંપર્ક કરતા ફરિયાદીનો મેળાપ 'મીરા' નામની મહિલા સાથે થયો હતો. તેણીએ પોતાની ઓળખ એક નોંધાયેલ રોકાણ સંસ્થાની પ્રતિનિધિ તરીકે આપી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ 'જેમ્સ' નામના શખ્સે કસ્ટમર કેર મેનેજર તરીકે વોટ્સએપ દ્વારા સંપર્ક કરી અલગ-અલગ બેંક ખાતાઓની વિગતો આપી હતી. તબક્કાવાર 25.86 લાખ પડાવ્યા આરોપીઓના જણાવ્યા મુજબ ફરિયાદીએ વધુ નફાની આશામાં તબક્કાવાર કુલ 25,86,000 અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. લાખોની રકમ રોક્યા બાદ પણ કોઈ વળતર કે મુદ્દલ રકમ પરત ન મળતા કમલેશભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ખોટી ઓળખ આપી પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વાસઘાત કર્યો હતો. નવ શખ્સો સામે ગુનો દાખલ આ કૌભાંડમાં એક મહિલા સહિત નવ જેટલા બેંક ખાતાધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગર સાયબર સેલના PI આઈ. એ. ધાસુરા અને તેમની ટીમે સંબંધિત કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, તપાસના અંતે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ધરપકડ કરવામાં આવશે. સાવચેતીનો સંદેશ સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ દ્વારા અપાતી રોકાણની લાલચમાં આવવું નહીં અને હંમેશા માન્ય સંસ્થાઓ દ્વારા જ નાણાકીય વ્યવહાર કરવા.
લીમખેડા ભાજપ કાર્યાલયે બેઠક:ચૂંટણી જીતવા ઘડાઈ ખાસ રણનીતિ બનાવાઈ
લીમખેડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શૈલેષ ભાભોરે આજે લીમખેડા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના આ ગઢને વધુ મજબૂત કરવાના હેતુથી આ એક અત્યંત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ અને પાયાના સૈનિકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં મોટીબાંડીબારના વરિષ્ઠ અગ્રણી મુન્ના લબાના, જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર મહેશ તડવી, તાલુકા પંચાયત બેઠક ના ઉમેદવાર સરતન ડામોર, ભાજપ કાર્યકર્તા કમલેશ ગુર્જર અને આગેવાન યોગેશ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ધારાસભ્ય શૈલેષ ભાભોરે ઉપસ્થિત સૌ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના એજન્ડા પર કામ કરે છે અને પ્રજાનો અતૂટ વિશ્વાસ એ જ આપણી સૌથી મોટી મૂડી છે. તેમણે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટેની રણનીતિ પર ભાર મૂકતા કહ્યું કે, છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આ વખતે ભલે અન્ય રાજકીય પક્ષો મેદાનમાં હોય, પરંતુ ભાજપની શિસ્તબદ્ધ કાર્યપદ્ધતિ અને જનસેવાની ભાવના સામે વિરોધ પક્ષોનો ગજ વાગશે નહીં. ધારાસભ્યએ દરેક કાર્યકરને અત્યારથી જ જનસંપર્ક તેજ કરી, લોકોની સમસ્યાઓ સાંભળવા અને તેનો ત્વરિત નિકાલ લાવવા માટે સક્રિય થવા આહવાન કર્યું હતું. ચૂંટણીના આ જંગમાં ભાજપનું 'કમળ' દરેક બૂથ પર ખીલે તે માટે ધારાસભ્ય દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યકરોની મહેનત અને ડબલ એન્જિન સરકારના વિકાસકાર્યોના પ્રતાપે લીમખેડા વિધાનસભા હેઠળની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો ભવ્ય વિજય પ્રાપ્ત કરશે. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પણ એકસૂરે ધારાસભ્યને ખાતરી આપી હતી કે, તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવીને ભાજપના વિજય રથને આગળ ધપાવશે. ભાજપના વિકાસના મંત્રને લઈને કાર્યકરો હવે ગામેગામ જઈને લોકમત કેળવશે. આ મુલાકાતથી કાર્યકરોમાં નવો જોમ પુરાયો છે અને ભાજપની ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ગઈ છે. ભાજપના શાસનમાં થયેલા કામો અને સંગઠનશક્તિના જોરે આગામી ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. કાર્યકરો દ્વારા અત્યારથી જ મતદારો સુધી પહોંચવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
VIDEO : BLAએ પોતાનું ‘નૌકાદળ’ બનાવ્યું, પાકિસ્તાની જહાજ પર કર્યો આડેધડ ગોળીબાર, 3 સૈનિકોના મોત
Baloch Navy Attack On Pakistani Ship : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સક્રિય બળવાખોર સંગઠન ‘બલૂચ લિબરેશન આર્મી (BLA)’એ ફરી પાકિસ્તાન સરકારની ચિંતા વધારી દીધી છે. બીએલએ બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે, જેના કારણે તેના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે અવારનવાર અથડામણો થતી રહે છે. અત્યાર સુધી BLAએ મોટાભાગે જમીની કાર્યવાહી કરી છે, જોકે હવે બીએલએ પોતાનું નૌકાદળ બનાવી દરિયામાં ખળભળાટ મચાવ્યો છે. તેણે ગ્વાદર વિસ્તારમાં પાકિસ્તાની જહાજ પર હુમલો કરી, ત્રણ સૈનિકોને મોતને ઘાટ ઉતારી પોતાનું પ્રથમ દરિયાઈ ઓપરેશન પાડ્યું છે. બલૂચ નૌકાદળનો ગ્વાદરમાં પાક.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણા પંથકમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી બાતમીના આધારે મોખડકા ગામની સીમમાં આવેલી વાડીમાં રેડ કરતાં હથિયારના સોદા માટે ભેગા થયેલા ત્રણેય શખ્સોને ઝડપી લઈ પોલીસે તેમની પાસેથી મેગેઝીનવાળી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સહિત કુલ રૂ. 20,300નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સોને પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા, જ્યાં તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. 3 શખ્સો હથિયાર સાથે ઝડપાયાઆ બનાવ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી મળતી વિગતો અનુસાર ગતરોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે મોખડકા ગામની સિંમમાં વાડી ધરાવતા મોખડકા ગામના બહાદુર પોપટ ચૌહાણની વાડીએ રેડ કરી હતી. આ દરમિયાન ત્યાં ત્રણ શખ્સો ગેરકાયદે હથિયારનો સોદો કરવા માટે આવ્યા હોવાથી તેમને ઝડપી લીધા હતા. જેમાં ભાર્ગવ કલ્યાણભાઈ ધંધુકિયા (ઉંમર વર્ષ 29, રહે ભૂતિયા ગામ, તાલુકો- પાલીતાણા) બહાદુર પોપટભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 46, રહે, મોખડકા ગામ, તાલુકો-પાલીતાણા) અને અનુ જીણા પરમાર (ઉંમર વર્ષ 42, રહે, ભીલવાસ ગરાજીયા રોડ, પાલીતાણા) સ્થળ પરથી મેગ્ઝીનવાળી પિસ્ટલ કિંમત રૂપિયા 20,000 તથા 3 નંગ જીવતા કાર્ટીસ કિંમત રૂપિયા 300 મળી કુલ રૂપિયા 20,300નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોને હથિયાર સાથે પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનને હવાલે કરી તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
ડો.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદના જુહાપુરાના ફલકનુમા પ્રિમાઈસિસમાં રઝા આર્ટ એકેડમી દ્વારા લુબનાબહેન અને મહેમુદભાઈની મદદથી પોર્ટરેટ આર્ટ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું. અહીં પોર્ટરેટ આર્ટીસ્ટ રિયાઝ અહમદે નિર્ધારિત 50 મિનિટના સમય સામે માત્ર 43 મિનિટમાં 50 બાળકોના 'સાઈડ ફેસ' પોર્ટ્રેટ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગિનિસ બુક ફોટો-વીડિયો જોઈ આગળ નક્કી કરશે આ માટે રિયાઝ અને તેમના પત્ની હીના રઝાએ ગિનિસ બુકમાં નામ નોંધાવવા માટે અરજી કરી હતી. આ માટે ગિનિસ બુક તરફથી તેમને મંજૂરી પણ મળી ગઈ અને ત્યાંથી ગાઈડલાઈન્સ પણ આવી ગઈ હતી. ગિનિસ બુકમાંથી ગાઈડ લાઈન આવવાનો મતલબ કે પ્રાથમિક દ્રષ્ટીએ તેમને પોર્ટરેટ આર્ટ કરવાની અને ગિનિસ બુકમાં નામ નોંધાવવાની મંજૂરી આપી દીધી છે. જોકે ગિનિસ બુકની ગાઈડ લાઈન મુજબ પોર્ટરેટ બન્યા હશે તો જરૂરથી રિયાઝ એહમદનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. ગિનિસ બુક આના ફોટો અને વીડિયો જોઈને આગળ નક્કી કરશે. બાબા સાહેબની જયંતિનો ખાસ દિવસ નક્કી કર્યોપોર્ટરેટ આર્ટીસ્ટ રિયાઝ એહમદનું કહેવું છે કે, ભારતમાં અત્યાર સુધીમાં આ પ્રકારનું પોર્ટરેટ આર્ટ આટલા ઓછા સમયમાં કોઈએ કર્યું નથી. 50 બાળકોના 50 પોર્ટરેટ 50 મિનિટમાં બનાવવાના હતાં. જોકે, રિયાઝ અહમદે 7 મિનિટ પહેલા માત્ર 43 મિનિટમાં 50 બાળકોના સાઈડ ફેસના પોર્ટરેટ બનાવી દીધા હતા. આ તમામ પોર્ટરેટ નોનસ્ટોપ બનાવવાના હતા અને સિંગલ લાઈનમાં બનાવવાના હતા. જેના માટે અમે 14 એપ્રિલ બાબાસાહેબની જયંતિનો દિવસ નક્કી કર્યો હતો. આ માટે તેમના પરિવારના સભ્યો અને મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશનું નામ રોશન કરવાનો લક્ષ્યરિયાઝ અહમદે અગાઉ નારણપુરામાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધા આશ્રમમાં પણ આ પ્રકારના પોર્ટરેટ આર્ટ બનાવી ચુક્યા છે. આ સિવાય ઘણી સ્કૂલોમાં અને અન્ય 8-10 જગ્યા પર આ પ્રકારનું આર્ટ પર્ફોમન્સ કર્યું, પરંતુ તે ટ્રાયલ બેઝ પર્ફોર્મન્સ હતા. રિયાઝ અહમદે વધુમાં જણાવ્યું કે, આ રીતના પોર્ટરેટ બનાવવાથી કોઈ ઈન્કમ નથી થતી છતાંય અમે દેશનું નામ રોશન કરવા માટે આ પોર્ટરેટ આર્ટ પર્ફોર્મન્સનું આયોજન કર્યું હતું.
ગુજરાતના આર્થિક પાટનગર અને ડાયમંડ-ટેક્સટાઈલ હબ સુરતમાં હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ દાયકાઓ જૂની છે. પરંતુ, હાલમાં મગદલ્લા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગ માટે 70,000 ચોમીથી વધુ જમીન ફાળવવામાં આવતા વકીલોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. સુરત જિલ્લા વકીલ મંડળે નવી ફાળવાયેલી જમીન પર જ હાઈકોર્ટની બેન્ચ સ્થાપવા માટે સરકારમાં રજૂઆત તેજ કરી છે. સુરતના વકીલોનું માનવું છે કે જો અહીં બેન્ચ સ્થપાય તો દક્ષિણ ગુજરાતના ન્યાયિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર આવી શકે તેમ છે. 80 લાખ લોકોને અમદાવાદ સુધીના ધક્કામાંથી શું મુક્તિ મળશે?સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોએ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા સાથે મુલાકાત કરી હાઈકોર્ટ બેન્ચના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. વકીલોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરત અને તેની આસપાસના જિલ્લાઓ જેવા કે ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગની અંદાજે 80 લાખની વસ્તીને નાનામાં નાની કાયદાકીય લડત માટે છેક અમદાવાદ સુધી જવું પડે છે. આ મુસાફરી માત્ર સમયનો વ્યય નથી, પરંતુ આર્થિક રીતે પણ પક્ષકારો પર મોટો બોજ નાખે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અમદાવાદની હાઈકોર્ટ સુધી પહોંચવું ઘણીવાર ન્યાય મેળવવામાં અવરોધરૂપ સાબિત થાય છે. કોમર્શિયલ અને સિવિલ વિવાદોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારોવકીલોની મુખ્ય દલીલ એ છે કે, સુરત અત્યારે મેટ્રો સિટી બની ચૂક્યું છે. અહીં મોટા પાયે ઉદ્યોગ-ધંધા અને આંતરરાષ્ટ્રીય વેપાર ચાલતો હોવાથી કોમર્શિયલ અને સિવિલ વિવાદોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સને 2000ના વર્ષથી એટલે કે છેલ્લા 26 વર્ષથી સુરતના વકીલો આ પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કેસોનું પ્રમાણ ખૂબ મોટું હાઈકોર્ટના ડેટા મુજબ પણ દક્ષિણ ગુજરાતના કેસોનું પ્રમાણ ખૂબ મોટું છે, જે સુરત ખાતે અલગ બેન્ચની અનિવાર્યતા સિદ્ધ કરે છે. સ્થાનિક સ્તરે ન્યાયિક પ્રક્રિયા ઉપલબ્ધ થવાથી હાઈકોર્ટ પરનું ભારણ પણ ઘટશે અને કેસોનો નિકાલ ઝડપથી આવશે. બંધારણીય સત્તા અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સમન્વયની અપીલવકીલ મંડળે સાંસદને કરેલી રજૂઆતમાં કાયદાકીય પાસાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. ભારતના બંધારણ અને સંબંધિત કાયદાઓ મુજબ, હાઈકોર્ટની બેન્ચ સ્થાપવા માટે ભારત સરકાર પાસે સત્તા છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચાર-વિમર્શ કરીને આ અંગે ઐતિહાસિક નિર્ણય લઈ શકે છે. વકીલોએ માંગ કરી છે કે સુરતની આર્થિક મહત્તાને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર આ દિશામાં ઝડપી કાર્યવાહી કરે. મગદલ્લાની વિશાળ જમીન આ પ્રોજેક્ટ માટે આદર્શ સ્થાપત્ય સાબિત થઈ શકે તેમ છે. સુરતને જો બેન્ચ મળે તો વકીલો અને પક્ષકારોને રાહત થશેઆ રજૂઆતમાં સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ, ઉપપ્રમુખ સંજય પટેલ, મંત્રી મુકુંદ રામાણી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવનિયુક્ત સભ્ય હરેશ નાકરાણી સહિતના દિગ્ગજ વકીલો જોડાયા હતા. સિનિયર વકીલ રિધ્ધિશ મોદીના જણાવ્યા અનુસાર, જો સુરતને બેન્ચ મળે તો વકીલો અને પક્ષકારો બંનેના નાણાં અને શક્તિની બચત થશે. શું સુરતમાં હાઈકોર્ટના સેન્ટરની સુવિધા મળશે?વધુમાં, રાજ્ય સરકારનો 'ઝડપી અને ઘરઆંગણે ન્યાય' આપવાનો સંકલ્પ ત્યારે જ સાકાર થશે જ્યારે સુરત જેવા મોટા સેન્ટર પર હાઈકોર્ટની સુવિધા ઉપલબ્ધ હોય. હવે જોવાનું એ રહે છે કે સાંસદ મારફતે પહોંચેલી આ રજૂઆત દિલ્હીના દરબારમાં કેટલી અસરકારક સાબિત થાય છે.
જામનગર એલસીબીએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા-ફરતા આરોપી શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો યુનુસભાઇ બ્લોચને ઝડપી પાડ્યો છે. આરોપીને જામનગરના ખીજડા મંદિર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી અન્ય જિલ્લાના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવના ભાગરૂપે, એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, એલસીબી સ્ટાફના રૂષીરાજસિંહ વાળા, યુવરાજસિંહ ઝાલા અને મયુરસિંહ પરમારને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમી મુજબ, વલસાડના ગુનામાં સંડોવાયેલ આરોપી જામનગરમાં છુપાયો હતો. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો યુનુસભાઇ બ્લોચ (ઉંમર 29 વર્ષ) છે. તે જામનગરના કિશાનચોક, મકરાણી કબ્રસ્તાન પાસે રહે છે. તેની ધરપકડ ખીજડા મંદિર વાળી ગલી, જામનગર ખાતેથી કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A, ,81, 98(2) અને 116બી મુજબ ગુનો નોંધાયેલો છે. જામનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ તલાવડીયાએ આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આરોપીને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે અને વલસાડ પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી, પીએસઆઈ એમ.વી. ભાટીયા સહિત સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, રૂષીરાજસિંહ વાળા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર અને દિલીપભાઇ તલાવડીયા સહિતના પોલીસ જવાનો જોડાયા હતા.
સુરત શહેરમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી નિર્દોષ લોકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગનો વધુ એક શિકાર સારોલીનો કારખાનેદાર બન્યો છે. 'ગ્રિન્ડર' ગે ડેટિંગ એપ પર મિત્રતા બાંધી એમ્બ્રોઈડરીના વ્યવસાયીને મળવા બોલાવ્યા બાદ, ચાર બદમાશોએ તેમને ડરાવી-ધમકાવી ઓનલાઇન નાણાં પડાવી લીધા હતા. જોકે, વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચારેય લૂંટારુઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ન્યૂ બોમ્બે માર્કેટ પાસે મળવા બોલાવી સોસાયટીમાં લઈ ગયામળતી માહિતી મુજબ, સારોલીની ભવાની સોસાયટીમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની અભય (નામ બદલ્યું છે) સારોલી વિસ્તારમાં એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવે છે. અભયકુમારે પોતાના મોબાઈલમાં ગ્રિન્ડર નામની ગે ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી. આ એપ પર તેમની મુલાકાત એક અજાણ્યા યુવક સાથે થઈ હતી. વાતચીત વધ્યા બાદ અજાણ્યા શખ્સે અભયને મળવા માટે ન્યૂ બોમ્બે માર્કેટ પાસે બોલાવ્યો હતો. અભય ત્યાં પહોંચતા જ પેલો યુવક તેને પોતાની મોટરસાઈકલ પર બેસાડી વરાછાની કમલપાર્ક સોસાયટીમાં લઈ ગયો હતો. ચાર શખ્સોએ ઘેરી લઈ જાનથી મારવાની ધમકી આપીઅભય જ્યારે કમલપાર્ક સોસાયટી પહોંચ્યો ત્યારે ત્યાં અગાઉથી જ અન્ય ત્રણ શખ્સો હાજર હતા. ચારેય જણાએ ભેગા મળીને અભયને ઘેરી લીધો હતો અને પૈસાની માંગણી કરી હતી. જ્યારે અભયે પૈસા આપવાની ના પાડી, ત્યારે બદમાશોએ તેને માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. લૂંટારુઓએ ફોનમાં પંજાબ નેશનલ બેંકની એપ્લિકેશન ખોલાવી હતી અને પરાણે ઓનલાઇન ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. ગભરાયેલા અભયે પહેલા 18 હજાર અને ત્યારબાદ બીજા 6 હજાર મળી કુલ 24 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી આપતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મોબાઈલ નંબરના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચીઆ ઘટના બાદ ભયભીત થયેલા અભય બિંદે તુરંત વરાછા પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડેટિંગ એપ પર વપરાયેલા પ્રોફાઈલ અને જે મોબાઈલ નંબરથી સંપર્ક કરવામાં આવ્યો હતો તેની વિગતો મેળવી તપાસ તેજ કરી હતી. વરાછા પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સેલની મદદથી આ ગુનામાં સામેલ ચાર આરોપીઓને વરાછા વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું ખૂલ્યુંપોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે પકડાયેલા ચાર પૈકી ત્રણ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી વિજય ઉર્ફે જીગો સામે અગાઉ વરાછા પોલીસ મથકમાં જ 3 ગુના નોંધાયેલા છે, જ્યારે અશોક અને પ્રયાગ સામે પણ એક-એક ગુનો નોંધાયેલો છે. આ ગેંગ લાંબા સમયથી ડેટિંગ એપના માધ્યમથી લોકોને ટાર્ગેટ કરતી હોવાની શંકા છે. હાલ પોલીસે ગુનામાં વપરાયેલી મોટરસાઈકલ અને લૂંટના નાણાં બાબતે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ
દાભડા ગામની ભગત ફળિયા શાળામાં 10 દિવસીય વિશેષ 'સમર કેમ્પ'નો પ્રારંભ થયો છે. પિરામલ ફાઉન્ડેશનના ગાંધી ફેલો ગગન દ્વારા આયોજિત આ કેમ્પનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસ અને જીવનલક્ષી કૌશલ્યો શીખવવાનો છે. ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કેમ્પ આગામી 22 એપ્રિલ સુધી દરરોજ સવારે 8:00 થી 11:00 વાગ્યા દરમિયાન યોજાશે. પ્રથમ દિવસે 19 વિદ્યાર્થીઓએ (8 છોકરાઓ અને 11 છોકરીઓ) ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પની શરૂઆત માર્ગદર્શિત ધ્યાન (મેડિટેશન) અને માઇન્ડફુલનેસના પાઠથી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય બાળકોમાં એકાગ્રતા અને ભાવનાત્મક સુખાકારી વધારવાનો હતો. ત્યારબાદ 'પરિચય રાઉન્ડ' યોજાયો હતો, જેમાં બાળકોએ પરસ્પર ભળીને નવા મિત્રો બનાવ્યા હતા. દિવસની મુખ્ય પ્રવૃત્તિ 'ટાવર ચેલેન્જ' રહી હતી, જેમાં વિદ્યાર્થીઓને નકામા કચરામાંથી ઊંચો ટાવર બનાવવાનું કાર્ય સોંપાયું હતું. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોએ એન્જિનિયરિંગના પાયાના સિદ્ધાંતો, રિસાયક્લિંગનું મહત્વ અને ટીમવર્કના પાઠ શીખ્યા. આયોજક ગગને જણાવ્યું હતું કે, અમારો લક્ષ્ય બાળકોને એ સમજાવવાનો છે કે શિક્ષણ એટલે માત્ર ગોખણપટ્ટી નહીં, પણ તમે કેવી રીતે વિચારો છો અને સમાજમાં એકબીજા સાથે કેવી રીતે વર્તો છો તે છે. સર્જનાત્મક પ્રોજેક્ટ્સ દ્વારા અમે તેમનામાં આત્મવિશ્વાસ વધારવા માંગીએ છીએ. આગામી નવ દિવસોમાં આ સમર કેમ્પમાં ચિત્રકામ, લેખન સ્પર્ધા, હસ્તકલા અને સહયોગી રમતો જેવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ કેમ્પથી દાભડા ગામના આદિવાસી વિસ્તારના બાળકોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે.
ભારત સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ, 2026 દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં સપ્ટેમ્બર 2023માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત બિલ)ને અમલી બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે. આ સત્રમાં કાયદાકીય સુધારા પસાર કરી મહિલાઓ માટે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈને સંપૂર્ણ કાનૂની માન્યતા આપવામાં આવશે. 'રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં એક નવો અધ્યાય શરૂ થશે'ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનીષા વકીલે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી દેશના રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં એક નવો અધ્યાય શરૂ થશે. તેમણે ઉમેર્યું કે સરકાર મહિલાઓને નિર્ણય પ્રક્રિયામાં સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. 2029ની લોકસભા ચૂંટણીથી આ અનામત અમલમાં આવી શકેમાહિતી મુજબ, 2023ના મૂળ કાયદાને અમલમાં લાવવા માટે જરૂરી સંશોધન બિલો આ સત્ર દરમિયાન રજૂ કરીને પસાર કરવામાં આવશે. સાથે જ સીમાંકન (ડિલિમિટેશન) અને વસ્તી ગણતરી સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરી 2029ની લોકસભા ચૂંટણીથી આ અનામત અમલમાં આવે તે માટે માર્ગદર્શન તૈયાર કરવામાં આવશે. ‘નારી શક્તિ વંદન સંમેલન’ બાદ નિર્ણયવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝન અંતર્ગત મહિલાઓની ભાગીદારીને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. તાજેતરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદન સંમેલન’ બાદ લેવાયેલો આ નિર્ણય મહિલા સશક્તિકરણ પ્રત્યે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. સંસદમાં મહિલાઓનો અવાજ પ્રભાવશાળી થશેરાજકીય વિશ્લેષકોના મત મુજબ, આ વિશેષ સત્ર ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે, જે સંસદમાં મહિલાઓના અવાજને વધુ પ્રભાવશાળી અને સશક્ત બનાવશે.
ભાટિયામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર:વિશાળ કાર્યકર્તા સંમેલનમાં શક્તિ પ્રદર્શન કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર અને યુવા ટીમમાંથી અક્ષય બારાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. આ સંમેલન દ્વારા ભાજપે ચૂંટણી પૂર્વે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે.બાળકીઓ માતા પિતાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ બંનેના એક સરખા જ નિવેદનથી પોલીસ પણ ગોથે ચડી છે. બંને નિવેદનમાં ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. જેથી પોલીસની તપાસ હવે FSLના રિપોર્ટ પર અટકી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ બે બાળકીના મોતનું રહસ્ય ખુલી શકે છે. બંને મૃતક બાળકીના પરિવારની પોલીસે પૂછપરછ કરીચાંદખેડામાં ઢોસાના શંકાસ્પદ ખીરુંથી બે બાળકીના મોતનો આક્ષેપ હતો. જે મામલે ચાંદખેડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બાળકીના માતા પિતા કે.ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતાં. જેમાં બંનેને હોસ્પિટલમાંથી રજા અપાતા બંનેની પોલીસે લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ડેરીના માલિક, બાળકીના દાદા-દાદી, કાકા અને ફોઈ સહિતના સંબંધીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. માતા-પિતાના નિવેદન શરૂઆતથી જ એક સરખા રહ્યાંબાળકીના માતા પિતાની પૂછપરછમાં બંનેના નિવેદન શરૂઆતથી જ એક સરખા રહ્યાં છે. બાળકીના પિતા શરૂઆતથી જ ખીરું ખરાબ હોવાનું રટણ કરી રહ્યા છે. જ્યારે બાળકીની માતા પણ ખીરું ખરાબ હોવાનું કારણ જણાવી રહી છે. બાળકીની માતાને ડાયરીમાં પુત્ર અંગેનું પૂછતા જણાવ્યું હતું કે, એક દીકરી હતી એટલે તેમને બીજો દીકરો આવે તેવી ઈચ્છા હતી. FSLનો રિપોર્ટ આવ્યા બાદ બંને બાળકીના મોતનું રહસ્ય ખુલશેઅત્યાર સુધી નિવેદનમાં કઈ ખાસ માહિતી ન મળતા પોલીસ FSLના રિપોર્ટની રાહ જોઈ રહી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ બંને બાળકીના મોતનું કારણ સ્પષ્ટ થશે. બાળકીઓના મોતનું કારણ ઝેર આપવાથી કે અન્ય હશે તો તે કોને આપ્યું તે જાણવા પોલીસ બાળકીના માતા પિતા અને દાદા દાદીનું લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવશે.
નરેન્દ્ર મોદી બહેનો માટે સુરક્ષા કવચ અને સાચા ભાઈ સાબિત થયા 33 ટકા અનામતથી સંસદમાં મહિલાઓની શક્તિ વધશે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા મહિલા અનામત બિલને દેશ માટે એક 'સુવર્ણ અને ક્રાંતિકારી' કદમ ગણાવતા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે, આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મક્કમ નિર્ણયશક્તિ અને '૫૬ની છાતી'નું જીવંત ઉદાહરણ છે. ધારાસભા અને લોકસભામાં મહિલાઓને 33 ટકા (1/3) અનામત આપવાનો આ ઐતિહાસિક નિર્ણય આગામી સમયમાં ભારતીય રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને નવી ઊંચાઈએ લઈ જશે, ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા ઐતિહાસિક “નારી શક્તિ વંદના અધિનિયમ” અંગે જનજાગૃતિ લાવવા માટે ભાવનગર ખાતે કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને ભાજપ શહેર પ્રમુખ કુમારભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત મહિલાઓના સશક્તિકરણ માટે આટલો મહત્વપૂર્ણ અને દુરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે આગામી તા.16, 17 અને 18 એપ્રિલના રોજ ભારતની સંસદમાં નારી શક્તિ વંદના અધિનિયમ અંગે ખાસ ચર્ચા થવાની છે ભારતની મહિલા એ દેશનું ગૌરવ છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું, તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી છે, ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનથી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 33 ટકાથી વધારી 50 ટકા અનામત આપવાનો નિર્ણય નારી સશક્તિકરણ માટે માઈલસ્ટોન સાબિત થયો છે. મંત્રીએ જણાવ્યું કે “ડ્રોન દીદી”, “લખપતિ દીદી”, “મુદ્રા યોજના”, “181 મહિલા હેલ્પલાઇન” તેમજ શિક્ષણક્ષેત્રે “નમો લક્ષ્મી” જેવી વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવામાં આવી છે જેના પરિણામે આજે મહિલાઓ ખેલકૂદ, વિજ્ઞાન અને અવકાશ સહિત દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે, તેમણે ઉમેર્યું કે, “નારી શક્તિ વંદના અધિનિયમ” 21મી સદીનો એક ઐતિહાસિક અને પરિવર્તનકારી નિર્ણય છે, જે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપીને તેમની લોકશાહીમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરશે, આ જોગવાઈની લોકસભા ચૂંટણીથી અમલમાં આવશે, મંત્રીએ આ પ્રસંગને ક્રાંતિકારી ગણાવી સમગ્ર દેશ અને રાજ્યની મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ તેમણે આ અધિનિયમની માહિતી વ્યાપક સ્તરે પહોંચાડવા અને મહિલાઓના સશક્તિકરણ માટે સૌએ સંકલ્પબદ્ધ થવાનું આહ્વાન કર્યું હતું.
સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આવેલી પ્રાથમિક શાળા નંબર-૧૪નું નામકરણ શહીદ વીર જયપાલસિંહ ભુપતસિંહ બારડના સન્માનમાં કરવામાં આવ્યું છે. આ શાળા હવે 'શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડ પ્રાથમિક શાળા' તરીકે ઓળખાશે. દેશ માટે શહાદત આપનાર વીર શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડના બલિદાનને યાદ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ દાજીપુરા પ્રાથમિક શાળાને શહીદના નામે ઓળખ આપવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તે શાળા બંધ કરી દેવાઈ હતી. દાજીપુરા શાળા બંધ થતાં સ્થાનિક દેશપ્રેમી યુવાનોમાં લાગણી ઉદ્ભવી હતી. આથી, હુડકો વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાને શહીદનું નામ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. શાળા સમિતિ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ આ મુદ્દે ઠરાવ પસાર કરતાં નામકરણનો આ નિર્ણય અમલમાં આવ્યો. નામકરણ વિધિના આ પ્રસંગે, શાળાના પૂર્વ આચાર્ય સ્વ. ભાવસંગભાઈ મસાણીના પરિવાર દ્વારા મધ્યાહન ભોજન માટે ભોજન શેડ બનાવી આપવામાં આવ્યો હતો. આ ઉમદા યોગદાન બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આયોજિત નામકરણ વિધિમાં મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો, સ્થાનિક નાગરિકો, યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ શહીદ જયપાલસિંહ ભુપતસિંહ બારડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના દેશપ્રેમ અને બલિદાનને યાદ કર્યા હતા.
દાહોદ શહેરમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. શહેરના આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સામાજિક ન્યાયના તેમના વિચારોને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા ઉપરાંત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકરોએ જય ભીમ અને બાબાસાહેબ અમર રહો ના નારા લગાવ્યા હતા. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું કે બાબાસાહેબે આપેલું બંધારણ વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે. જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયાએ તેમના સંબોધનમાં કહ્યું કે ભાજપ સંગઠન બાબાસાહેબના અંત્યોદય અને સમાનતાના સિદ્ધાંતો પર કાર્ય કરી રહ્યું છે.આ કાર્યક્રમ દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકરના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ અને ડૉ. વ્રજકુમારની સ્મૃતિમાં એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સેંકડો લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી. રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ અને ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં સવારથી જ યુવાનો, મહિલાઓ અને વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. રક્તદાન માટે લાંબી કતારો જોવા મળી હતી, જે દાતાઓના ઉત્સાહ અને માનવતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રક્તદાન એ મહાદાન ના સૂત્રને સાર્થક કરતા, દાતાઓએ એકબીજાને પ્રેરણા આપી હતી અને તેમના ચહેરા પર સેવા કરવાનો સંતોષ સ્પષ્ટ દેખાતો હતો. આયોજકો દ્વારા રક્તદાતાઓ માટે ઉત્તમ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. તબીબી ટીમ દ્વારા સંપૂર્ણ સાવચેતી સાથે રક્તસંગ્રહ કરવામાં આવ્યો હતો, અને દાતાઓને જરૂરી માર્ગદર્શન તથા પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડૉ. આંબેડકરનો સંદેશ માત્ર સમાનતાનો જ નહીં, પરંતુ સમાજ માટે કંઈક કરવાનો પણ છે. રક્તદાન જેવા ઉપક્રમો દ્વારા આ સંદેશને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ માનવ સેવા અને સામાજિક એકતાનું પ્રતિક બન્યો હતો, જેમાં સેંકડો લોકોએ જરૂરિયાતમંદો માટે જીવનદાયી યોગદાન આપ્યું હતું.
કાળઝાળ ગરમીમાં સુરતીઓને રાહત:બપોરે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ
અસહ્ય ગરમીમાં વાહનચાલકોના આરોગ્યને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને માનવીય નિર્ણય લેવામાં આવ્યો છે. 15 એપ્રિલથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. આ વ્યવસ્થા બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી અમલમાં રહેશે, જે દરમિયાન જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા સિગ્નલોને બ્લિકિંગ મોડ પર રાખવામાં આવશે. મહત્વના પોઈન્ટ પર ટ્રાફિક જવાનો હાજર રહેશેટ્રાફિક પોલીસના આ આયોજનમાં માત્ર સિગ્નલ બંધ રાખવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તેની પણ પૂરી તકેદારી રાખવામાં આવી છે. સિગ્નલો બ્લિકિંગ મોડ પર હોવા છતાં, દરેક ચાર રસ્તા અને મહત્વના પોઈન્ટ પર ટ્રાફિક જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો ખડેપગે હાજર રહેશે. તેઓ સુનિશ્ચિત કરશે કે વાહનોની અવરજવરમાં શિસ્ત જળવાય અને કોઈ અકસ્માત જેવી દુર્ઘટના ન સર્જાય. આ રીતે પોલીસ વિભાગે ગરમીમાં રાહત આપવાની સાથે સુરક્ષાનું પણ સુદ્રઢ આયોજન કર્યું છે. ટુ-વ્હીલર ચાલકો માટે શેડ ઊભા કરાયાગરમીની તીવ્રતાને જોતા સુરત ટ્રાફિક પોલીસે શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર જ્યાં ભૌગોલિક રીતે શક્ય હોય ત્યાં આર્ટિફિશિયલ શેડ ઉભા કરવાની પણ વ્યવસ્થા કરી છે. આ શેડ દ્વારા ટુ-વ્હીલર ચાલકોને સીધા સૂર્યપ્રકાશથી રક્ષણ મળશે. આ બાબતે પોલીસે એક ખાસ અપીલ પણ કરી છે કે, ફોર-વ્હીલર ચાલકોએ ટુ-વ્હીલર ચાલકોની સ્થિતિ સમજીને તેઓને આ શેડ નીચે ઊભા રહેવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ. 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં ટુ-વ્હીલર ચાલકોને લૂ લાગવાની સંભાવના સૌથી વધુ હોવાથી નાગરિકોના સ્વાસ્થ્યને પોલીસ વિભાગે પોતાની પ્રાથમિકતા ગણાવી છે. ટ્રાફિકના નિયમોનું સ્વયંભૂ પાલન કરવા અપીલસુરત શહેર ટ્રાફિક પોલીસે તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, આ નિર્ણય તેમની સુવિધા અને સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો હોવાથી ટ્રાફિકના નિયમોનું સ્વયંભૂ પાલન કરવું. રસ્તાઓ ક્રોસ કરતી વખતે આજુબાજુ ધ્યાન રાખવું અને પોલીસ જવાનોને સહકાર આપવો જેથી ટ્રાફિકજામની સમસ્યા ઉભી ન થાય. સુરતમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પારસુરત શહેરમાં છેલ્લા બે દિવસથી શહેરના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે શહેરીજનો ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, 13 એપ્રિલના રોજ મહત્તમ તાપમાન સતત 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ, જે આજે 38 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ખાસ કરીને બપોરના સમયે ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચતા રસ્તાઓ પર લૂ (હીટ વેવ) જેવી સ્થિતિ સર્જાય છે, જે ટુ-વ્હીલર ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે.
સરસ્વતી તાલુકાની વોમૈયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. NSUI ના શહેર મહામંત્રી જીગર દેસાઈ સહિત 10 થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેનાથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બેઠક પર ભાજપના ઉમેદવાર દક્ષાબેન અશોકભાઈ પરમાર છે. ઉદ્ઘાટન પ્રસંગે જ કોંગ્રેસ પક્ષમાં ભડકો જોવા મળ્યો હતો. NSUI ના શહેર મહામંત્રી જીગર દેસાઈ અને અન્ય 10 થી વધુ સક્રિય કોંગ્રેસ કાર્યકરો ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત અને પ્રભારી સત્યમ કુલાબકર દ્વારા આ તમામ કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા હતા. ભાજપમાં જોડાનાર કાર્યકરોમાં બલોચ, દેસાઈ અને ઠાકોર સમાજના આગેવાનોનો સમાવેશ થાય છે. વમૈયા બેઠકના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ કોંગ્રેસના પાયાના કાર્યકરો ભાજપમાં જોડાતા વમૈયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી ટાણે જ એકસાથે 10 થી વધુ કાર્યકરો અને આગેવાનોએ પક્ષ છોડતા કોંગ્રેસને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં જાહેરમાં મારામારીના બનાવો સામાન્ય બની ગયા હોય તેમ હવે દિન-પ્રતિદિન મારામારીની ઘટના બની રહી છે. નારોલ વિસ્તારમાં બાગે કૌસર પાસે ગોસીયા પાર્કમાં રહેતો અને સેન્ટીંગનું કામકાજ કરતો સમસાદ અન્સારી નામનો યુવક 9 એપ્રિલના રોજ અલીફ નગર ખાતે બાઈક સર્વિસ કરાવવા ગેરેજમાં ગયો હતો. આ સમયે ઈમ્તિયાઝ નામનો વ્યક્તિ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તું સંજયને એમ કહે છે કે ઈમ્તિયાઝ મારું શું ઉખાડી લેશે. જે બાબતે બોલાચાલી કરીને જતો રહ્યો હતો. સમસાદે સંજયને ફોન કરતા તેની પત્નીએ ફોન ઉપાડ્યો હતો, જેથી તેને કહ્યું કે, સંજય કેમ મારા વિશે ખોટી વાત કરે છે? જે બાદ ફોન મૂકી દીધો હતો. ફરિયાદી જીવ બચાવી ભાગ્યોબીજા દિવસે 10 એપ્રિલના રોજ સાંજના સમયે જ્યારે સમસાદ સાંજના સમયે તેના મિત્રનું બાઈક લઈને ગોશિયા પાર્ક પાસેથી પસાર થતો હતો, ત્યારે સંજયે તેને પથ્થર માર્યો હતો. સમસાદે ગાડી ઉભી રાખી હતી, તે દરમિયાનમાં તેનો ભાઈ નીસાર પણ આવી ગયો હતો અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી થઈ હતી. બાદ બંને ભાઈએ તેને ગડદા-પાટુનો માર માર્યો અને લાકડાના ડંડા વડે માર મારતા પોતે ત્યાંથી જીવ બચાવીને ભાગી ગયો હતો. ઘરે પહોંચ્યા અને ઘરનો દરવાજો બંધ કરી બીજા માળે પહોંચી ગયો હતો. બાઈકમાં તોડફોડ બાદ સળગાવી દીધીનીસાર અને તેની સાથે બેથી ત્રણ માણસોએ પથ્થરો તેમજ લાકડા વડે બાઇક પર તોડફોડ કરવા લાગ્યા હતા. સમસાદે ઉપરથી બૂમો પાડીને તોડફોડ ન કરવા કહ્યું હતું, તેમ છતાં પણ તોડફોડ કરી હતી. ત્યારબાદ બડા બાબુ અને સંજય ક્યાંયથી જ્વલનશીલ પદાર્થ લાવી અને બાઈક પર છાંટી આગ લગાડી દીધી હતી. બીજી તરફ સંજયની પત્ની અને બીજા બેથી ત્રણ માણસો પણ આવ્યા હતા અને ઘરના દરવાજા પર પથ્થર અને લાકડી મારી નુકસાન કર્યું હતું. પોલીસ સ્થળે જતાં આરોપીઓ ફરારનાસિરે કહ્યું હતું કે, તારે જેને બોલાવવા હોય તો બોલાવી લે, હું તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી હ,તી જેથી તમામ લોકો નાસી ગયા હતાં. સમગ્ર મામલે નારોલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC) દ્વારા ૧૪ એપ્રિલે નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ફાયર અને ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓએ ફાયર સ્ટેશન ખાતે એકત્ર થઈને ફાયર સેફ્ટી અને તૈયારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં ફાયર ટ્રકો, રેસ્ક્યુ વાહનો અને અદ્યતન ફાયર ફાઇટિંગ સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક વિશેષ ડિસ્પ્લે ટેબલ પર લાઇફ જેકેટ, હેલ્મેટ, ફાયર હોસ, લાઇફબોય જેવા સુરક્ષા સાધનો સાથે સજ્જ ફાયરફાઇટર મેનિકિનનું આકર્ષક પ્રદર્શન પણ યોજાયું હતું. ફાયર સર્વિસના કર્મચારીઓએ યુનિફોર્મમાં પોઝ આપીને ફોટો સેશનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફાયર સર્વિસ કર્મીઓના સમર્પિત સેવાભાવને માન આપવાનો તેમજ નાગરિકોમાં આગના જોખમ અને સુરક્ષા વિષયક જાગૃતિ વધારવાનો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર ઓફિસર દેવાંગ દૂધરેજીયાએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા ફાયર સર્વિસની તૈયારીને વધુ મજબૂત બનાવી શકાય છે.
પંચમહાલ LCBએ ₹6.44 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:દારૂબંધીના કડક અમલીકરણ હેઠળ બે સ્થળોએ દરોડા પાડ્યા
પંચમહાલ LCBએ દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ રૂ. 6.44 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પ્રથમ કાર્યવાહી ઘોઘંબા તાલુકાના ઝબાણ ગામે કરવામાં આવી હતી. બાતમીના આધારે LCB ટીમે વિનોદ રાઠવા નામના બૂટલેગરના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી રૂ. 3.77 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી કાર્યવાહી ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે થઈ હતી. પોલીસે બૂટલેગર અશ્વિન ગુલાબ પટેલીયાના કબજા હેઠળની એક ઓરડીમાં તપાસ કરતા રૂ. 2.67 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ બંને મામલે પોલીસે બૂટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી દિવસેને દિવસે રંગ પકડી રહી છે. ઉમેદવારો જનસંપર્ક કરવા જઈ રહ્યા છે ત્યાં લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોર્ડ 7માં આવેલા કોળી ફળિયામાં ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણ સામે ભારે વિરોધ જોવા મળ્યો. આ વોર્ડમાં મહિલા ઉમેદવારનો રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતુંકે, પાંચ વર્ષ સુધી દેખાયા નહી અને હવે વોટ લેવા માટે પાછા આવી ગયા છે. 'અમારા વિસ્તારના પ્રશ્નોમાં કોઈ જવાબદારી નિભાવી નથી'સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે. રહીશોએ શ્વેતા ચૌહાણના બેનરો બનાવી સોશ્યલ મીડિયામાં ફરતા કર્યા છે જેમાં લખ્યું છે કે, આ ઉમેદવાર અમારા માટે યોગ્ય નથી. અમારા વિસ્તારના પ્રશ્નોમાં કોઈ જવાબદારી નિભાવી નથી. જેથી તેઓએ આ વિસ્તારમાં આવવું નહીં અને અન્ય ઉમેદવારો પણ તેઓ સાથે આવશે તો તેઓએ પણ ગંભીર વિરોધનો ભોગ બનવું પડશે. ‘ફક્ત સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર બની ગયા છે’સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કામો સ્થળ ઉપર તો દેખાતા જ નથી માત્ર સોશિયલ મીડિયામાં દેખાય છે. આ ઉમેદવાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર બની ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. લોકોનો આક્રોશ જોતા ઉમેદવારોએ પણ ત્યાંથી જતા રહેવાનું મુનાસિબ સમજ્યું હતું. ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીનો પ્રશ્ન છેસ્થાનિક રહીશોએ કહ્યું કે, અમારા વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. અમે અનેકવિધ રજૂઆત કરી છે છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી તેથી અમારો વિરોધ છે. રજૂઆતોનો કાયમી નિકાલ લાવવાના પ્રયાસ કરીશું: આદિત્ય પટેલવોર્ડ 7ના ઉમેદવાર આદિત્ય પટેલે બચાવ કરતા જણાવ્યું હતું કે, જુના જનપ્રતિનિધિઓએ પણ આ વિસ્તારની સમસ્યા હલ કરવાના પ્રયાસ કર્યા છે. અમે ફેરણીમાં જઈએ તો આવકાર પણ મળે છે અને રજૂઆત પણ મળે છે. અમે આવનારા સમયમાં જે કઈ નાના મોટા કામો રહી ગયા હશે તેને પૂરા કરવાનો પ્રયત્ન કરીશું. લોકોનો આક્રોશ અમે સાંભળીએ છે અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ ચોક્ક્સ લાવીશું.

29 C