SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

મનપા એક્શન મોડમાં:ફુલસર આવાસ યોજનામાં 256 આવાસના સર્વેમાં 104 ભાડુઆત, 26 આવાસને સીલ મારવાની કાર્યવાહી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકો માટે આવાસ યોજના અમલમાં છે પરંતુ તેમાં લાભાર્થીઓ આવાસને ભાડે આપતા ફુલસર આવાસ યોજનામાં કરેલા સર્વે બાદ આજે ખાલી નહીં કરેલા અને બાહેધરી નહીં આપેલા 26 આવાસને સીલ મારવામાં આવ્યા હતા. આવાસ યોજના પૈકીના મકાનોને ભાડે આપવામાં આવતી હોવાની માહિતી કોર્પોરેશનને મળતા ભાડે આપતા આવાસો સામે કડક કાર્યવાહી છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા ફુલસર ફાઇનલ પ્લોટ નં. 30માં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કુલ 256 આવાસોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર 75 મૂળ લાભાર્થીઓ વસવાટ કરતા હતા જ્યારે 104 ભાડુઆત હોવાથી તમામને નોટિસ ફટકારવામાં આવી હતી જયારે 77 આવાસમાં બિન રહેણાંક ધ્યાન પર આવ્યું હતું. જે સંદર્ભે આજ રોજ સિલીંગની કાર્યવાહી કરતા 104 ભાડુઆત પૈકી 78 આવાસ ખાલી કરાવ્યા હતા અને સોસાયટીનું NOC તેમજ મૂળ લાભાર્થીનું એફિડેવિટ લેવામાં આવેલ હતું. અને આજે ફુલસર આવાસ યોજનામાં પુનઃ ચેક પણ કરી લીધું હતું જ્યારે 26 આવાસને સીલ મારવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:04 am

કૌશિક વેકરીયાની હાજરીમાં કરાશે ગણતંત્ર પર્વની ઉજવણી:વલભીપુરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી થશે

દેશના 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તા.26 જન્યુઆરી સોમવારે વલભીપુર ખાતે કરવામાં આવશે.આ પર્વની શાનદાર ઉજવણી કરવા માટે ગંભીરસિંહ હાઇસ્કુલના ગ્રાઉન્ડ પર ધ્વજવંદન અને પરેડ અંગે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાજયના કાયદા,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે સવારના 9 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે ત્યારબાદ સલામી અને રાષ્ટ્રગાન અને પરેડ તથા માર્ચ પાસ્ટ થશે. વલભીપુર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટેની જિલ્લા પ્રશાસન અને વલભીપુર મામલતદાર કચેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને વલભીપુર મામલતદાર કચેરીને રોશનીથી શણગારવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રભાવના જગાડતી રજૂઆતો યોજાશે. ઉપરાંત, રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ અને જિલ્લાની વિવિધ ક્ષેત્રે ઉત્તમ સેવા આપનાર વ્યક્તિઓ, સંસ્થાઓને સન્માનિત કરવાની પણ આયોજનબદ્ધ વ્યવસ્થા રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પર્વની ગૌરવમય ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા નાગરિકોને નિવાસી અધિક કલેક્ટર ભાવનગર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:02 am

PGVCL દ્વારા 1 કરોડ 28 લાખની વસૂલાત કરાઈ:ગારિયાધારમાં બીલ વસુલવા વીજતંત્રનો કરંટ

ગારિયાધાર પીજીવીસીએલ દ્વારા હિસાબી વર્ષ માર્ચ એન્ડિંગ આવી રહ્યો છે ત્યારે બાકી પતાવવા માટે બાકીદારોના વીજ જોડાણ કાપીને કરંટ આપવાનું શરૂ કરતાં બાકીદારોમાં દોડધામ વધી ગઈ છે. વીજ જોડાણ ઉતારી લેવામાં આવી રહ્યા છે. હિસાબી વર્ષ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે ત્યારે ગારિયાધાર pgvcl કચેરી વિભાગ 2 દ્વારા આસપાસના 35 જેટલા ગામોમાં બાકીદારોના લેણા પતાવવા માટે સખ્તાઈથી વસૂલાત કરવામાં આવી રહી છે જે અંતર્ગત કુલ 6848 ગ્રાહકો પાસેથી 1 કરોડ 28 લાખની ઉઘરાણી વસૂલ કરવામાં આવી છે. આગામી માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે હજુ પણ વસુલાતની કડક ઝુંબેશ શરૂ કરીને વસુલાતની બાકી રકમ માટે કડક કાર્યવાહી કરીને વસુલાત કરવામાં આવશે તેમ જણાય રહ્યું છે. વસુલાત માર્ચ મહિના સુધી કડક હાથે કરવામાં આવશેગારિયાધાર પંથકના ગામડામાં વીજ વસુલાતની ઝુંબેશ માર્ચ મહિના સુધી કડક હાથે કરવામાં આવશે. ગ્રાહકોને સમયસર વીજ બીલ ભરવા માટે અપીલ કરું છું. વીજ કનેક્શન કપાયા બાદ રીકનેક્શન માટે દંડ ભરીને તંત્રની પ્રોસેસ માંથી પસાર થવું પડે છે માટે ગ્રાહકોએ સમયસર વીજ બીલ ભરપાઈ કરવું જોઈએ. > જી.એમ. વિસાત, નાયબ ઈજનેર, ગારિયાધાર pgvcl વિભાગ- 2 43 ગ્રાહકોએ 12 લાખનું બિલ નહીં ભરતા કનેકશન કટ્ટ25 ગ્રાહકો પાસે 8 લાખ 57 હજારનું બિલ બાકી હોય જે લેણદારોએ નહીં ભરતા એમના મીટર ઉતારી લેવામાં આવ્યા છે. તેમજ 43 જેટલા ગ્રાહકો પાસે 12 લાખનું વીજ બિલ બાકી હોય તેઓએ બિલની ચુકવણી નહીં કરતા તેમના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. વીજ તંત્રની સખ્તાઈથી વસૂલાત કરવામાં આવતા વીજ બીલ નહી કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.વીજ જોડાણ કાપી નાખ્યા બાદ જે ગ્રાહકો રૂપિયા ભરે તો પણ ફરીથી વીજ જોડાણ શરૂ કરવા માટે વીજતંત્રની પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. આમ પીજીવીસીએલ વિભાગ 2 દ્વારા વીજબિલની ઉઘરાણી માટે તંત્રએ લાલ આંખ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:01 am

'જીવતા માણસોને મારી નાંખ્યા':હાથમાં પુરાવા લઈ લોકો રસ્તા પર ઉતર્યા, અમદાવાદ-સુરતમાં અનેક મુસ્લિમ મતદારોના નામ રદ કરવા અરજીઓ, ફોર્મ નં.7 કોણે ભર્યાં?

રાજ્યમાં ચાલતી SIRની કામગીરી સામે કોંગ્રેસે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપ ખોટાં ફોર્મ નંબર-7 ભરીને લાખો નાગરિકોનો મતાધિકાર છીનવવા માગે છે. 10 લાખ મતદારોના નામ રદ કરવા ભાજપની તૈયારી છે. ફોર્મ નં.7ને લઈ થયેલા આ વિવાદને લઈ દિવ્ય ભાસ્કર દ્વારા અમદાવાદ અને સુરતમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું કે શું ખરેખર જીવિત મતદારોને મૃત બતાવી તેમના નામ રદ કરવા ફોર્મ ભરાયા છે કે નહીં? જેમાં એક બે નહીં પરંતુ અનેક જીવિત મુસ્લિમ મતદારોના નામ રદ કરવા ફોર્મ-7 ભરાયા હોવાનું સામે આવ્યું છે. BLOએ પણ નામ ન આપવાની શરતે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમજ લોકો હાથમાં પુરાવા સાથે રસ્તા પર ઉતર્યા છે. અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ SIRની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન પણ કોંગ્રેસે વોટચોરી થતી હોવાના આક્ષેપ કર્યા હતા. મતદાર સુધારણાની કામગીરી માટે BLOએ ઘરે ઘરે જઈને ડોક્યુમેન્ટની ખરાઇ કરીને વિગતો અપડેટ કરી હતી. જો કે તે બાદ મત રદ કરાવવો હોય તો તેના નજીકના લોકો માટે ફોર્મ નંબર 7 ભરવાની સૂચના આપવામાં આવી હતી. ફોર્મ નંબર 7 ભરીને વાંધા રજૂ કરવામાં આવતા તે વ્યક્તિનું નામ રદ કરવામાં આવતું હોય છે. આ પણ વાંચો: SIRમાં હવે ફોર્મ નંબર-7નું કમઠાણ:સ્થળાંતર અને મૃત્યુના કિસ્સામાં ભરાતા ફોર્મની સંખ્યા સામે કોંગ્રેસના સવાલ પરંતુ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ફોર્મ નંબર 7માં અરજી કરનાર એક વ્યક્તિ જ અનેક લોકોના નામ રદ કરવા માટે વાંધો ઉઠાવતા હોવાનું સામે આવ્યું છે. તેમજ ફોર્મ નંબર 7માં વાંધા રજૂ કરનારે વિગતમાં એપિક નંબર ન લખ્યો હોય તો ક્યાંક મોબાઇલ નંબરની વિગતો ખોટી હોવાનું સામે આવ્યું છે. દિવ્યા ભાસ્કરને પણ એવા કેટલાક ફોર્મ મળી આવ્યા છે. અમદાવાદમાં 100 નામ રદ કરવા એક વ્યક્તિએ ફોર્મ નં.7 ભર્યાનો દાવોઅમદાવાદ શહેરના ઝાનાસાહેબની ગળી, રિલીફ રોડ અને મિર્ઝાપુરના મોરકસવાડમાં રહેતા 100 કરતા વધુ લોકોના નામ રદ કરવા ફોર્મ 7 ભરાયું હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં જન્મથી રહેતા 60 વર્ષ કરતા વધુ ઉંમરના 100 કરતા વધુ લોકોના નામ રદ કરવા માટે એક વ્યક્તિએ ફોર્મ ભર્યા હોવાનો સ્થાનિકોએ પુરાવા બતાવી દાવો કર્યો છે. જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં મૃત્યુ થયું હોવાનું બતાવવામાં આવ્યુંશનિવારે BLO ખરાઇ કરવા માટે જે લોકોના નામ રદ કરવા માટે ફોર્મ 7 ભરાયા છે તેમના ઘરે પહોંચ્યા હતા. અનેક વ્યક્તિઓ જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં મૃત્યુ થયું હોવાનું બતાવવામાં આવ્યું હતું. BLO જ્યારે ખરાઇ કરવા ઘરે પહોંચ્યા ત્યારે સ્થાનિકોને ખબર પડી કે કોઈક વ્યક્તિએ ખોટી રીતે નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભર્યા છે. દિવ્યા ભાસ્કરને જે ફોર્મ મળ્યા હતાં. તેમાં જે લોકોનું મૃત્યુ હોવાની બતાવી ફોર્મ 7 ભરવામાં આવ્યું હતું તે ખરેખર તો જીવિત હોવાનું સામે આવ્યું હતું. તેમજ જે વ્યક્તિએ ફોર્મ 7 ભર્યું છે તેમને સ્થાનિકો ઓળખતા પણ ન હોવાનો દાવો કર્યો હતો. તેમનું મૃત્યુ બતાવવામાં આવ્યું હતું તે ફોર્મ 7 અને પોતાના વોટર આઇડી સાથે જોવા મળ્યા હતા. 65 વર્ષીય હનીફભાઈ શેખ જન્મથી જ મિર્ઝાપુરમાં રહે છે. ઇલેક્ટ્રિક દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓ જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં તેમનું મૃત્યુ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ અંગે હનીફભાઈએ જણાવ્યું હતું કે, ખબર નહીં સરકારના મનમાં શું ચાલી રહ્યું છે? એક તરફ સિટીઝનને ફાયદો કરાવવાની વાત કરવામાં આવે છે અને બીજી તરફ અમારા મત રદ કરવામાં આવી રહ્યા છે. BLO ફોર્મ લઈને આવ્યા ત્યારે અમને ખબર પડી61 વર્ષીય યાસીનભાઈ સૈયદ રિક્ષા ચલાવીને પિતાનું ગુજરાન ચલાવે છે અને તેમનું નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7માં મૃત્યું થયું હોવાનું બતાવવામાં આવ્યું છે. યાસીનભાઈએ જણાવ્યું હતું કે, લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ અમે મતદાન કરીએ છીએ. BLO ફોર્મ લઈને આવ્યા ત્યારે અમને ખબર પડી હતી. પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને ડોક્યુમેન્ટ પણ ચેક કરવામાં આવ્યા છે. જેણે અમારું ફોર્મ ભર્યું છે તેને અમે ઓળખતા જ નથી. ‘નવી યાદીમાં અમારું નામ પણ એડ થઈ ગયું હતું’65 વર્ષીય રફીકભાઈ કુરેશી જીવિત હોવા છતાં મૃત્યુ થયું હોવાનું ફોર્મ 7માં બતાવવામાં આવ્યું છે. રફીકભાઈ કુરેશીએ જણાવ્યું કે, જન્મ થયો ત્યારથી હું અહીં જ રહું છું. BLO જયારે ઘરે આવ્યા ત્યારે અમે ફોર્મ ભરીને ડૉક્યુમેન્ટ પણ આપ્યા હતા. તેમજ તે બાદ નવી યાદીમાં અમારું નામ પણ એડ થઈ ગયું હતું. જે બાદ એવું જાણવા મળ્યું હતું કે ફોર્મ નંબર 7માં મૃત્યુ થયું હોવાનું બતાવવામાં આવ્યું છે. ‘જે વ્યક્તિએ અમારું ફોર્મ ભર્યું તેને અમે ઓળખતા જ નથી’64 વર્ષીય લિયાકત મેમણે જણાવ્યું હતું કે, જન્મથી અહીં રહીએ છીએ. BLO આવ્યા ત્યારે ખબર પડી કે અમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે. BLO આવ્યા ત્યારે અમે તમામ ડોક્યુમેન્ટ આપી દીધા હતા. જે વ્યક્તિએ અમારું ફોર્મ ભર્યું તેને અમે ઓળખતા જ નથી. જેથી અમે હવે પોલીસ ફરિયાદ કરી છે. અમારાં વોટ કાપી ચૂંટણી જીતવા માટેનું ભાજપનું ષડયંત્ર છે. મેં કોઈપણ ફોર્મ ભર્યું નથી: પંકજ પુરાણીફોર્મ નંબર 7 પંકજ પુરાણી નામના વ્યક્તિએ ભર્યું હોવાનું ફોર્મમાં દર્શાવવામાં આવ્યું હતું. જેથી દિવ્ય ભાસ્કરે તેમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મેં કોઈપણ ફોર્મ ભર્યું નથી કે કોઈપણ ફોર્મમાં સહી પણ કરી નથી. મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે. મારું નામ ફોર્મમાં કઈ રીતે આવી ગયું તેની મને પણ ખબર નથી. ફોર્મ જમા કરાવવા જઈએ CCTV કેમેરા પણ હોય છે તો તે જોવામાં આવે તો મારા નામનું ફોર્મ કોણ આપી ગયું તે સામે આવી શકે છે. ફોર્મમાં જે લખાણ છે તે પણ મારું નથી. હું કોઈ ફોર્મ આપવા માટે પણ ગયો નથી. ફોર્મ ક્યારે જમા થયું અને કોણ આપી ગયું તે ચેક કરવું જોઈએ. જો કે અત્યાર સુધી પોલીસે કોઈ ફોન કર્યો નથી. મારા નામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ‘એક વ્યક્તિ ઘણા બધા ફોર્મ નંબર 7 ભરીને લઈને આવ્યા હતા’દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નામ ન આપવાની શરતે એક BLOએ સ્વીકાર્યું હતું કે ફોર્મ નંબર 7નો મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે. BLOએ જણાવ્યું હતું કે, ફોર્મ નંબર 7 નામ રદ કરવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. કોઈના પિતા મૃત્યુ પામ્યા હોય તો તેનો દીકરો નામ રદ કરવા માટે વાંધો રજૂ કરી છે. ફોર્મ ફિઝિકલ ફોર્મેટમાં ભરીને નામ નંબર સહી અને એપિક નંબર સાથે ભરીને આપવું પડતું હોય છે. તમામ વિગતો હાથથી જ લખવામાં આવતી હોય છે. જે બાદ ફોર્મ ભરાયા તે ફોર્મ BLO પાસે જતા હોય છે અને તે બાદ તેને ઑનલાઇન અપલોડ કરવામાં આવતું હોય છે. નજીકના વ્યક્તિ ફોર્મ નંબર 7 ભરીને વાંધો ઉઠાવી શકે છે. મારા મિત્ર BLO પાસે પણ એક વ્યક્તિ ઘણા બધા ફોર્મ નંબર 7 ભરીને લઈને આવ્યા હતા. જે તમામ મતદારોના નામ રદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેને ખોટી રીતે મતદારોના નામ રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. એના પાસે જેટલા મતદારો નથી એના કરતા વધુ નામ રદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સુરતમાં પુરાવાઓ સાથે લોકો રસ્તામાં ઉતર્યાંજ્યારે સુરતમાં મુસ્લિમ બહુમતી ધરાવતા અનેક વિસ્તારમાં SIRની કામગીરી વિવાદમાં આવી છે. ખાસ કરીને લિંબાયતના અનવર નગરમાં 50 વર્ષથી રહેતા અંદાજે 200 જેટલા જીવિત લોકોને ફોર્મ 7માં મૃત જાહેર કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. તેમજ હાથમાં પુરાવા સાથે રસ્તા પર ઉતર્યા છે. અનવર નગરના રહીશોનો સીધો આક્ષેપ છે કે ભાજપના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલે લિંબાયત વિસ્તારમાં મુસ્લિમ મતદારો સામે વાંધા અરજીઓ દાખલ કરી છે. BLO તરીકેની પ્રક્રિયામાં દરમિયાનગીરી કરીને ફોર્મ નંબર 7 ભરીને આ નામો કમી કરાવવાના પ્રયાસો થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં મતદારોને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ એક સુનિયોજિત કાવતરું છે જેનો હેતુ ચોક્કસ સમુદાયના મતો કાપવાનો છે. ફોર્મ નંબર 7માં 80 ટકા જીવિત નાગરિકોને કાગળ પર મૃત બતાવાયાચોંકાવનારી વિગત એ છે કે BLO દ્વારા જે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે, તેમાં અંદાજે 80 ટકા લોકોને મૃત જાહેર કરી દેવાયા છે. અન્ય મતદારોને 'સ્થાનાંતરિત' અથવા 'વયમર્યાદા'ના બહાને યાદીમાંથી બહાર કરવાના પ્રયત્નો થયા છે. વર્ષોથી એક જ સ્થળે રહેતા અને નિયમિત મતદાન કરતા નાગરિકો જ્યારે પોતાના જ નામે ભરાયેલા ફોર્મમાં પોતાને 'મૃત' જુએ છે, ત્યારે તેમની લાગણી દુભાઈ રહી છે. આ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાના ગંભીર આક્ષેપો અત્યારે વહીવટી તંત્ર સામે થઈ રહ્યા છે. કાયદાકીય લડત માટે મસ્જિદમાં એનાઉન્સમેન્ટ આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે અનવર નગરની મસ્જિદનો સહારો લેવામાં આવ્યો છે. મસ્જિદના લાઉડસ્પીકર પરથી સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે જે લોકોના નામ કપાયા છે અથવા જેમને મૃત જાહેર કરાયા છે, તેઓ એકત્રિત થાય. મસ્જિદમાંથી લોકોને કાયદાકીય લડત લડવા અને પોતાના હક માટે જાગૃત થવા આહવાન કર્યું છે. ધાર્મિક સ્થળેથી થયેલી આ જાહેરાતો બાદ મોટી સંખ્યામાં લોકો પોતાના ઓળખકાર્ડ અને પુરાવાઓ સાથે એકઠા થઈને તંત્ર સામે મોરચો માંડવા તૈયાર થયા હતા. હવે શેરીઓમાંથી આક્રોશ પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યોઅનવર નગરમાં છેલ્લા 50 વર્ષથી રહેતા વડીલો પણ આ યાદીમાં મૃત જાહેર થયા છે, જે અત્યંત આઘાતજનક બાબત છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ પેઢીઓથી અહીં રહે છે અને તમામ ડોક્યુમેન્ટ્સ આપ્યા હોવા છતાં ડ્રાફ્ટ લિસ્ટમાં ચેડાં કરવામાં આવ્યા છે. જે લોકો પ્રત્યક્ષ હાજર છે અને જીવી રહ્યા છે, તેમને સરકારી ચોપડે મૃત બતાવીને લોકશાહીના પાયા સમાન મતાધિકાર છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આક્રોશ હવે શેરીઓમાંથી પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરી સુધી પહોંચી રહ્યો છે. પીડિત મતદારોએ આ મામલે કાયદાકીય રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે. રોષે ભરાયેલા લોકોએ સલાબતપુરા પોલીસ મથકમાં લેખિત અરજી આપીને જવાબદાર કોર્પોરેટર અને BLO સામે કાર્યવાહીની માંગ કરી છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં કલેક્ટરને મળીને રજૂઆત કરવાની અને જીવિત હોવાના પુરાવા રજૂ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમના નામ ફરીથી સન્માનપૂર્વક યાદીમાં ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શાંતિથી બેસવાના નથી. કોર્પોરેટર વિક્રમ પાટીલનું મોં સિવાઈ ગયું, ફોન કાપી નાખ્યોઆ વિવાદ અંગે જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈ પણ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. જ્યારે તેમને મતદારો સામેની વાંધા અરજીઓ અને જીવિત લોકોને મૃત જાહેર કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપ્યા વગર જ ફોન કાપી નાખ્યો હતો. કોર્પોરેટરનું આ મૌન અને પ્રતિભાવ આપવાની અનિચ્છા અનેક સવાલો ઉભા કરે છે. બીજી તરફ, વહીવટી તંત્ર હવે આ ગંભીર ક્ષતિ સુધારવા માટે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. ડ્રાફ્ટ યાદી તૈયાર થઈ તેમાં દરેકના નામ સાચી રીતે આવી ગયા હતાસ્થાનિક અબ્દુલ રઝાક વઝીરશાહે જણાવ્યું કે હું અનવરનગર, આંજણા, 163 લિંબાયત વિધાનસભાનો મતદાર છું. મારા વિસ્તારમાં SIR.ની કામગીરી થઈ હતી. જે ડ્રાફ્ટ યાદી તૈયાર થઈ તેમાં દરેકના નામ સાચી રીતે આવી ગયા હતા. ‘આ બાબતે કોઈ પુરાવો કે આધાર આપ્યો નથી’ત્યારબાદ 15-16 તારીખ પછી, અમારા વિસ્તારના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલે અમારી વિરુદ્ધ 7 નંબરનું ફોર્મ ભર્યું. હું અહીં 36 વર્ષથી, એટલે કે 1984થી રહું છું, પરંતુ મને 7 નંબરનું ફોર્મ આપવામાં આવ્યું અને મૃત જાહેર કર્યો. આવી જ રીતે અમારા વિસ્તારના ઓછામાં ઓછા 200 લોકોને 7 નંબરના ફોર્મ મળ્યા છે. કોઈને મૃત જાહેર કર્યા છે, તો કોઈ અહીં નથી રહેતા તેવો ખોટો આક્ષેપ કરીને તેમણે 7 નંબરના ફોર્મ ભર્યા છે. તેમણે આ બાબતે કોઈ પુરાવો કે આધાર આપ્યો નથી. તેથી અમે આ અરજી કલેક્ટરને સોંપી છે. વિક્રમ પાટીલ વિરુદ્ધ FIR કરવા મોરચો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતોજે માનસિકતા સાથે વિક્રમ પોપટ પાટીલે આ ફોર્મ ભર્યા છે, તેની વિરુદ્ધ એફ.આઈ.આર. કરવા માટે અમે સલાબતપુરા પોલીસ સ્ટેશન મોરચો લઈને ગયા હતા. આવનારા એક-બે દિવસમાં અમે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને આ અરજી આપવા જઈ રહ્યા છીએ. સ્થાનિક અનવર શાહ બબન શાહે જણાવ્યું હતું કે,વર્ષ 1984માં સુરત મહાનગરપાલિકાએ કડીવાળા હાઈસ્કૂલ પાસેથી અમને અહીં શિફ્ટ કર્યા હતા. અમને અહીં આવ્યાને ઓછામાં ઓછા 40 થી 42 વર્ષ થઈ ગયા છે. જ્યારે ફોર્મ આવ્યું અને B.L.O.એ જણાવ્યું કે તમને મૃત જાહેર કર્યા છે, ત્યારે અમે આ ઝુંબેશ શરૂ કરી છે. ભારતીય જનતા પાર્ટીના પેટમાં ક્યાંક તેલ રેડાયું છે: અસલમ સાયકલ વાલાઆ મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલ વાલાએ જણાવ્યું હતું કે, આ પ્રક્રિયામાં મુસ્લિમ સમાજે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એમાં અસંખ્ય સંખ્યામાં મુસ્લિમ મતદારોના નામ નોંધાઈ ચૂક્યા હતા.પરંતુ, મુસ્લિમોના ઉત્સાહ જોઈને ભારતીય જનતા પાર્ટીના પેટમાં ક્યાંક તેલ રેડાયું છે અને ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ બંને ભેગા મળીને એક સુનિયોજિત ષડયંત્ર રચીને જે નોંધાઈ ચૂક્યા હતા એવા નામો સામે ફોર્મ નંબર 7માં સ્પષ્ટપણે લખેલું છે કે તમારે કોઈની સામે વાંધો લેવો હોય તો તેને યોગ્ય જરૂરી પુરાવા સાથે વાંધા લેવાની ફરજ પડે છે, અને પુરાવા નહીં આપી શકો તો એક વર્ષની દંડ અને સજાની જોગવાઈ છે. પુરાવા વગરની જેટલી પણ અરજીઓ છે એને તાત્કાલિક રદ કરવામાં આવેઅમારી એક જ માંગણી છે કે આવી જે પુરાવા વગરની જેટલી પણ અરજીઓ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે, દફતરે કરવામાં આવે અને જે મતદારો નોંધાઈ ચૂક્યા છે, જે હાલ હયાત છે, એવા મતદારો સાથે ન્યાય કરવામાં આવે. એ એમનો બંધારણીય અધિકાર છે અને એમના ભારતીય નાગરિકતાના પુરાવા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

‘હોટલ હિલ્લોક પાસેનો કટ નરહરી અમીને બંધ કરાવ્યો’:રિંગ રોડ પર ચાંદખેડા જતા ચાલકોએ 3 KM ફરવાને બદલે શોર્ટકટ લેતા ગરનાળામાં જામની સ્થિતિ; ભાસ્કરે જાણી સમસ્યા...

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડરનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોને 3 કિલોમીટર ફરીને ન્યુ ત્રાગડ અને ચાંદખેડા IOC રોડ તરફ જવું પડે છે. ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા સંકલન બેઠકમાં આ કટ બંધ કરી દેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જેના કારણે થઈને હવે લોકોને ફરીને જવું પડે છે. એસપી રિંગ રોડ પર ઝુંડાલ પહેલા એક નાનું ગરનાળું આવેલું છે જેમાંથી વાહનોને પસાર થવું પડે છે. ખૂબ નાના ગરનાળામાં એક સમયે માત્ર એક જ ગાડી અને એક ટુ-વ્હીલર પસાર થઈ શકે એટલી જ જગ્યા હોવાના કારણે બંને તરફથી વાહનો અવરજવર કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા થાય છે. આવી સમસ્યા હોવા છતાં પણ ત્યાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી જોવા મળી છે. વાહન ચાલકો 3 કિલોમીટર ફરવાના બદલે હિલ્લોક હોટલથી 850 કિમીના અંતરે આવેલા ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગરનાળામાં લાંબો જામ સર્જાય છે. ત્યારે ભાસ્કરે પણ સ્થળ પર જઈને લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. નરહરી અમીને રજૂઆત કરતા હોટલ હિલ્લોક પાસેનો કટ બંધઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં જ મળેલી સંકલન બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી કે એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થાય છે ત્યાં અકસ્માતની સંભાવના છે જેના કારણે આ ડિવાઈડરનો કટ બંધ કરવામાં આવે એવી રજૂઆતના આધારે AUDA દ્વારા આ કટ બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોના હિતને લઈ કટ રાખ્યો'તો, સાંસદની રજૂઆત બાદ બંધ કરાયોવધુમાં તેમને એક નાનું ગરનાળુ આવેલું છે જેમાં વાહનચાલકોને હાલાકી અને ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક પોલીસ સાથે અભિપ્રાય લેવામાં આવ્યો હતો કે કેમ તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્યસભાના સાંસદની રજૂઆત હતી અને ઉપરથી અધિકારીઓના આદેશના મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉથી જ આ ડિવાઈડર બંધ કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ AUDA દ્વારા નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આ કટ ચાલુ રાખવામાં આવ્યો હતો. જો કે સાંસદની રજૂઆત બાદ કટ બંધ કરવામાં આવ્યો છે. ‘કટ બંધ થતાં વાહનચાલકોને ઝુંડાલ સર્કલ સુધી 4 કિમીથી વધુ ફરીને જવું પડે છે’એસપી રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતાં હોટલ હિલ્લોક પાસે સર્કલ આવેલું છે જેની પાસેનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે. આ કટ ચાલુ હતો ત્યારે વૈષ્ણોદેવી તરફથી આવતા વાહન ચાલકોને ન્યૂ ત્રાગડ, ચાંદખેડા IOC રોડ જવું હોય તો આ કટ પાસેથી વાહન વળાંક લઈને જતાં હતા. જોકે AUDA દ્વારા હોટલ હિલ્લોક પાસેનો આ કટ બંધ કરી દેવાના કારણે વાહનચાલકોને ઝુંડાલ સર્કલ સુધી 4 કિલોમીટરથી વધુ ફરીને જવું પડી રહ્યું છે. કટ બંધ કરાવી દેતાં વાહનચાલકોને હાલાકીવૈષ્ણોદેવી તરફથી આવતાં લોકોને આ કટ ચાલુ હતો ત્યારે ખૂબ જ રાહત હતી. ટ્રાફિક પોલીસ પણ ત્યાં હાજર રહેતી હતી, પરંતુ ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા સંકલન બેઠકમાં કરેલી રજૂઆતના આધારે AUDAના અધિકારીઓએ આ કટ બંધ કરાવી દેતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. લોકોની અવરજવર વધુ પણ યોગ્ય મેનેજમેન્ટનો અભાવહોટલ હિલ્લોક પાસેથી ચાંદખેડાના IOC રોડ તેમજ ન્યૂ ત્રાગડ તરફ જવાનો મુખ્ય રોડ પણ આવેલો છે, છતાં પણ આ જગ્યા ઉપર ત્યાં વચ્ચે જે ખુલ્લી જગ્યા છે તેને બંધ કરી રોડ પણ AUDA દ્વારા બનાવવામાં આવતો નથી. જો આ રોડ બનાવી દેવામાં આવે તો ચાંદખેડા IOC તરફ જે નાગરિકોને જવું છે તે સરળતાથી જઈ શકે છે, પરંતુ AUDAના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી. દિન પ્રતિદિન ન્યુ ત્રાગડ અને IOC રોડ તરફ નવા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે અને વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોની અવરજવર ખૂબ જ વધી છે, પરંતુ કોઈપણ પ્રકારનું આ બાબતે યોગ્ય મેનેજમેન્ટ જોવા મળતું નથી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

મોદીએ કહ્યું આપણે ભુજ જવાનું છે:તારાજી જોઇને સાંસદ રડી પડ્યા, લોકો સ્મશાનમાં મૃતદેહો મૂકી ભાગી જાય, કચ્છને કાટમાળમાંથી બેઠું કરનારાઓની કહાની

ભૂકંપ બાદ કચ્છમાં ચારેતરફ વિનાશ જ વિનાશ હતો. કેટલા લોકોના મોત થયા તેનો એ સમયે ફક્ત અંદાજો જ લગાવાતો હતો, કોઇ ચોક્કસ આંકડો નહોતો. ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કંઇ બચ્યું નહોતું. બધું નાશ પામ્યું હતું. એક રીતે કહીએ તો જનજીવન થંભી ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થઇ શકે પણ મજબૂત ઇચ્છાશક્તિ, કુનેહ, વિઝન અને મહેનતે હજુ હાર નહોતી માની. આવા સમયે સરકાર, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ આગળ આવ્યા અને કચ્છની કાયાપલટ કરવાનો દૃઢ સંકલ્પ લીધો. જાણ્યા-અજાણ્યા ઘણા ચહેરા એવા છે જેણે આમાં કચ્છની કાયાપલટ કરવામાં યોગદાન આપ્યું છે. આવા જ અમુક ચહેરાની વાત કરીએ દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ભૂકંપ @25માં. નરેન્દ્ર મોદીનું એક બહુ જાણીતું સૂત્ર છે- આફતને અવસરમાં બદલવી. આ સૂત્ર ધરતીકંપની ઘટના બાદ આવ્યું છે. કચ્છના ભૂકંપ બાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આજે તમે જે કચ્છને જોઇ રહ્યાં છો તે નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, પોર્ટ અને ટુરિઝમનો ઉપયોગ કરીને તેમણે ગુજરાતના આ સૌથી મોટા જિલ્લાની સકલ બદલી દીધી છે. વર્ષોથી તરસ્યા કચ્છને પાણી પહોંચાડ્યુંતેમણે ભૂકંપમાં નાશ પામેલા હજારો ઘરોનું પુનઃનિર્માણ કરાવ્યું અને ગામડાં તેમજ શહેરોને ફરીથી ધબકતા કર્યાં. ભૂતકાળમાં સૂકો પ્રદેશ ગણાતા કચ્છની સૌથી મોટી જરૂરિયાત પાણીની હતી. નરેન્દ્ર મોદીએ કચ્છની તરસ છીપાવવા નર્મદા યોજનાનું પાણી પહોંચાડ્યું. જેનાથી ખેતીને ફાયદો થયો. ગીરની કેસર કેરીની જેમ હવે કચ્છની કેસર કેરીએ પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ટેક્સ હોલિડેની જાહેરાત બાદ કચ્છમાં મોટા-મોટા ઉદ્યોગો આવ્યા અને હજારો લોકોને રોજગારી મળી. આજના સમયે કચ્છની ગણતરી એશિયાના મોટા ઇન્ડસ્ટ્રિયલ હબમાં થાય છે. રણોત્સવે કચ્છની રોનક બદલી નાખીકચ્છમાં રહેલી ટુરિઝમ વિકાસની ક્ષમતાને નરેન્દ્ર મોદીએ પારખી અને પહેલીવાર 2005માં રણોત્સવની શરૂઆત કરાવી. પહેલો રણોત્સવ ફક્ત 3 દિવસ માટે યોજાયો હતો. આજે એ જ રણોત્સવ 100થી વધુ દિવસ સુધી ચાલે છે અને દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. 2005 પહેલા જે રણમાં જવા કોઇ જવા તૈયાર નહોતું તે રણે કચ્છની અલગ ઓળખ ઊભી કરી દીધી છે. 1969-70ના વર્ષમાં અમદાવાદમાં જજ તરીકે સેવા આપનારા મૂળ કચ્છના માંડવીના સુરેશ મહેતા પીઢ અને પરિપક્વ રાજકારણી છે. ગુજરાતના આ પૂર્વ મુખ્યમંત્રી કચ્છના ભૂકંપ સમયે રાજ્યના ઉદ્યોગ મંત્રી હતા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ કચ્છને બેઠું કરવામાં સુરેશ મહેતાએ તેમની સાથે ખભેખભો મીલાવીને કામ કર્યું હતું. મોટા ઉદ્યોગો આવ્યા અને કચ્છની આર્થિક સ્થિતિ સુધરીકચ્છ માટે ખાસ પેકેજ જાહેર કરાવવામાં સુરેશ મહેતાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કચ્છ ટેક્સ હોલિડે જાહેર થતાં મુન્દ્રા, ગાંધીધામ જેવા વિસ્તારોમાં મોટા ઉદ્યોગો સ્થપાયા હતા. કચ્છના લોકોને રોજગારી મળી રહે તે માટે તેમણે મોટા ઉદ્યોગપતિઓને રોકાણ કરવા માટે કહ્યું. અદાણી, ટાટા અને વેલસ્પન જેવી જાયન્ટ કંપનીઓ કચ્છમાં આવી તેની પાછળ સુરેશ મહેતાની મહેનત હતી. આવી મોટી કંપનીઓ આવવાના કારણે કચ્છની આર્થિક સ્થિતિમાં ઘણો ફેર પડ્યો છે. સુરેશ મહેતાએ પુનઃ વસનની કામગીરીમાં અંગત રસ લઇને લોકોને નવા મકાનો અપાવ્યા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન જ્યારે ભૂકંપગ્રસ્ત કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે સુરેશ મહેતાએ સતત તેમની સાથે રહીને ધરતીકંપની ભયાનકતાનો ચિતાર આપ્યો હતો. ભૂજ પડીને પાદર થઇ ગયું હતું. કાટમાળમાં અનેક લાશો દટાયેલી હતી. જેને બહાર કાઢીને અંતિમ સંસ્કાર કરવા જરૂરી હતા. શહેરમાં અલગ અલગ સમાજના સ્મશાન હતા. લોહાણા સમાજનું સ્મશાન ભૂજના સેન્ટરમાં આવેલું હતું. જ્યાં નિયમ એવો હતો કે જો અન્ય સમાજમાંથી કોઇનો મૃતદેહ આવે તો લોહાણા સમાજના પ્રમુખની મંજૂરી લેવી પડે અને પછી જ તેના અંતિમ સંસ્કાર કરી શકાય. સ્મશાનમાં જ માનવતાની ધૂણી ધખાવીરસિક ઠક્કર એ સમયે લોહાણા સમાજના પ્રમુખ હતા. ધરતીકંપ બાદની જે સ્થિતિ હતી તેનો ખ્યાલ તેમને આવી ગયો હતો. આવા કપરા સમયે તેમણે નિયમને સાઇડમાં મૂકીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું. મૃતદેહોની અંતિમવિધિ માટે તેમણે પોતે જ સ્મશાનમાં ધૂણી ધખાવી. સતત 18 દિવસ સ્મશાનમાં રહીને અંદાજે 932 મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા. 'લોકો મૃતદેહ સ્મશાને મૂકીને જતાં રહેતા'ઘનશ્યામ ઠક્કર રસિકભાઇના પુત્ર છે. એ દિવસોની ભયાનકતાને વર્ણવતા તેઓ કહે છે કે, પરિસ્થિતિ એટલી હદ બહાર હતી કે શરૂઆતના બે ત્રણ દિવસમાં બોડી લઇ આવવામાં કે નનામી કાઢવાની તો પરિસ્થિતિ જ નહોતી. કોઇનો હાથ કપાયેલો, કોઇનો પગ કપાયેલો હોય, કોઇના માથા પર પથ્થર વાગેલો, લોકો બોડી સ્મશાને મૂકી જતાં કારણ કે એમની પણ મજબૂરી હતી. 'એમના કોઇ સ્વજન કાટમાળમાં ફસાયેલા હોય ને એક બોડી હાથમાં આવી હોય તો સ્વાભાવિક છે કે બોડી સ્મશાને મૂકીને જીવતા માણસને કાઢવાનો પ્રયત્ન કરે. આ પરિસ્થિતિ અમે જોઇ છે.' પિતા રસિકભાઇની સેવાને યાદ કરતા પુત્ર ઘનશ્યામ ઠક્કરે કહ્યું કે, મારા પિતા એ સમયે અમારા સમાજના પ્રમુખ હતા. અમારા સમાજનો નિયમ હતો કે અન્ય સમાજમાંથી કોઇનો મૃતદેહ આવે તો સમાજના પ્રમુખની પરમિશન લેવી પડે. 11:30 વાગ્યે સ્મશાનમાં પ્રથમ બોડી આવી. સ્મશાનમાં બેઠેલા વ્યક્તિને ખબર નહોતી કે આટલી મોટી ઘટના બની ગઇ છે. તેણે ના પાડતાં કહ્યું કે પહેલા તમે પ્રમુખની પરમિશન લઇ આવો પછી તમને અગ્નિદાહ કરવા દઇશું. 18 દિવસ સુધી સ્મશાનમાં રહ્યાં'મારા પપ્પાને (રસિક ઠક્કરને) આ વાતની જાણ થઇ. એ સ્મશાને ગયા. એમણે નક્કી કર્યું કે હું સ્મશાને બેસીશ. ભૂજમાંથી જે પણ સમાજની બોડી આવશે એનો પરિવાર અગ્નિદાહ નહીં આપી શકે તો એને અગ્નિદાહ હું આપીશ. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી મોઢામાં ગંગાજળ અને તુલસીનું પાન મુકીશ. આમ સતત 18 દિવસ સુધી મારા પિતા સ્મશાને રહ્યા હતા. અંદાજિત 932 મૃતદેહોને અગ્નિદાહ આપ્યો હતો.' અંતિમ સંસ્કાર માટે લાકડા ખૂટી પડ્યા‘એમણે નિયમ બનાવ્યો હતો કે બોડી લેનારનું નામ, એમના નંબર અને મૃત વ્યક્તિનું નામ રજિસ્ટરમાં લખવું. આ રજિસ્ટર પછીના સમયમાં સરકાર માટે પણ ઉપયોગી બન્યું હતું. દિવસે દિવસે બોડી વધતી ગઇ, લાકડા ખૂટ્યા. સરકારમાં વાત કરી તો સરકારે લાકડા અપાવ્યા.’ તેમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ભૂજની તમામ બોડીને અગ્નિદાહ નહીં આપું ત્યાં સુધી ભૂજ લોહાણા સ્મશાન નહીં મૂકું. સવારે છ વાગ્યે જતાં અને સાંજે છ વાગ્યે આવતા. ખાવાનું મળે એ ખાઇ લેતા, ન મળે તો પણ દિવસ કાઢી લેતા. દિવંગત સાંસદ અનંત દવે ભૂકંપના દિવસે દિલ્હીમાં 26મી જાન્યુઆરીની પરેડના કાર્યક્રમમાં હાજર હતા. ભૂકંપની જાણ થતાં જ તેઓ કચ્છ આવ્યા હતા અને તબાહી જોઇને રડી પડ્યા હતા. અનંત દવેના પુત્ર દેવાંગે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ભૂકંપ સમયે હું અને મારી માતા આ જ ઘરમાં હતા. મેં મારા જીવનમાં પહેલીવાર ભૂકંપ જોયો હતો જ્યારે મારા પિતા એ સમયે દિલ્હી હતા. તેઓ 26 જાન્યુઆરીની પરેડ જોવા માટે ત્યાં ગયા હતા. 'મોદીએ આવીને કહ્યું આપણે અત્યારે કચ્છ જવાનું છે''ભૂકંપ આવતા જ ગામના અનેક લોકો પણ અમારા ઘરે આવી ગયા હતા. અહીંયા સત્યનારાયણ મંદિરની પાછળ અમારા પરિવારના બીજા સભ્યોનું ઘર ધ્વસ્ત થઇ ગયું હતું. બીજી તરફ મારા પિતા જ્યારે પરેડ ગ્રાઉન્ડ પર હતા ત્યારે અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાસે આવ્યા અને તેમણે કહ્યું કે આપણે એલ.કે.અડવાણી સાથે અત્યારે કચ્છ જવાનું છે. કચ્છમાં ખૂબ મોટી ભૂકંપની હોનારત થઇ છે.' 'જેના પછી તેઓ એલ.કે.અડવાણી સાથે પરેડ ગ્રાઉન્ડથી નીકળી અમદાવાદ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં અસરગ્રસ્ત લોકોને મળ્યા અને ત્યાંથી કારમાં ઝડપથી કચ્છ સુધી આવ્યા હતા.' કારને જ ઓફિસ બનાવી દીધી'મારા પિતા દુર્ઘટનાના 3 દિવસ બાદ થોડા સમય માટે ફરીથી માંડવી આવ્યા હતા અને તે સમયે તેઓ મારા માતા અને અમને બધાને ભેટીને ખૂબ રડી પડ્યા હતા. હું આજે પણ આ પ્રસંગને યાદ કરતા ધ્રુજી ઊઠું છું. એ ખાલી એટલું બોલ્યા કે અનેક પરિવારો ગયા પરંતુ મારા મહાદેવની કૃપાથી મારો પરિવાર સલામત છે. મારા પિતા દુર્ઘટનાના અનેક દિવસો સુધી સૂઇ નહોતા શકતા.મારા પિતા આ દુર્ઘટના પછી 15 દિવસ ભૂજમાં રહ્યાં. તેમની ઓફિસ ગણો કે કાર્યાલય ગણો, બધું જ એ સમયે તેમની કાર હતી.' ‘પીવાના પાણીની વ્યવસ્થા નહોતી તો આસપાસના જેટલા પણ કૂવાઓ હતા ત્યાં મશીન મૂકી પાણી ઉલેચીને લોકો માટે પાણીની વ્યવસ્થા કરી હતી. આ સમયે લોકોના મનોબળ પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. જેથી રોજ રાત્રે ભજન કિર્તનની શરૂઆત પણ કરી હતી. તેમણે પંડિત દીન દયાલના નામથી ભૂજના ગ્રાઉન્ડ પર ઓપન એર થિયેટરમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા પણ કરી હતી.’ તેઓ કહે છે કે, એ પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને એ સમયના સાંસદ મારા પિતા બધા સાથે મળીને સમયાંતરે બેઠક કરતા અને ટીમ વર્કની રીતે આખા કચ્છને બેઠું કર્યું હતું. અમે આ પછી ભૂંકપ સમયે કચ્છના લોકસભાના સાંસદ પુષ્પદાન ગઢવી સાથે વાતચીત કરી. તેઓ 1996 થી 2009 સુધી એમ કુલ ચાર ટર્મ સુધી લોકસભામા કચ્છનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અગાઉ તેઓ 5 વર્ષ ધારાસભ્ય પણ હતા. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરી ધ્વજવંદન માટે સવારે 8 વાગ્યે ઉમેદ ભવન (સર્કિટ હાઉસ) ખાતે ભેગા થયા હતા. ભૂકંપ આવ્યો ત્યારે આખું ઉમેદ ભવન ધ્રૂજવા લાગ્યું હતું. અમે 1956 નો ભૂકંપ પણ જોયો હતો પરંતુ આ ભૂકંપની તીવ્રતા ખૂબ ભયાનક હતી. 'ઉમેદ ભવનના પાયા હલી ગયા એટલે અમે તરત બહાર આવી ગયા હતા. બાજુમાં કલેક્ટર ઓફિસ હતી તે પણ આખી પડી ગઇ. કલેક્ટર ઓફિસ પાસે આવેલો ટાઉનહોલ પણ બેસી ગયો હતો. આ પછી અમે તુરંત હોસ્પિટલ પહોંચવા નીકળ્યા. અમે ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સેવાઓ બંધ થઇ ગઇ હતી.' હોસ્પિટલ ધરાશાયી થઇ અને દર્દીઓ દટાઇ ગયા'અમે હોસ્પિટલ પહોંચ્યા હોય તો ખબર પડી કે હોસ્પિટલ પણ ધરાશાયી થઇ ગઇ છે અને તેમાં પણ લોકો દટાઇ ગયા છે. ગામમાંથી પણ લોકો હોસ્પિટલ પહોંચી રહ્યા હતા. તે સમયે રોટરી ક્લબના ડોક્ટર જ્ઞાનેશ્વર રાવની ટીમ ભેગી થઇ ગઇ. તેમણે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે પાથરણું પાથરી હોસ્પિટલ શરૂ કરી દીધી.' વાતને આગળ વધારતા તેમણે કહ્યું કે, અમને બપોર પછી ખબર પડી કે કચ્છના પૂર્વ વિસ્તારમાં વધુ તીવ્રતા હતી, ત્યાં સાંકડી ગલીઓ અને આજુબાજુમાં મકાનો હતા. અનેક લોકો દબાયેલા હતા. અમે આર્મીની હોસ્પિટલમાં કંઇ વ્યવસ્થા થઇ શકે તેમ છે તે જોવા ગયા તો ત્યાં પણ આ જ હાલત હતી. આ પરિસ્થિતિમાં છેક સાંજે 6 વાગ્યા આસપાસ દિલ્હી સંપર્ક થઇ શક્યો. આ પછી રાત્રે જ એરફોર્સના પ્લેન આવવા લાગ્યા. તે વખતની હાલતનું વર્ણન કરતા પણ અત્યારે કંપારી છૂટી જાય છે. રાત્રે એરફોર્સના પ્લેન ઉતર્યાં'એ વખતે રાત્રે જ ત્યારના ડિફેન્સ મિનિસ્ટર જ્યોર્જ ફર્નાન્ડિઝે એરફોર્સના પ્લેન શરૂ કરાવ્યા હતા. જેમાં વધારે ઘાયલ લોકોને આસપાસની હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું શરૂ કર્યું. બીજા દિવસે તો મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સહિતના લોકો આવી પહોંચ્યા હતા.' 'તે સમયે ધાર્મિક સંસ્થાઓએ પણ ખૂબ કામ કર્યું હતું. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક રસોડા શરૂ કરાવ્યા. મુંબઇમાં રહેતા અને ફોરેનમાં રહેતા કચ્છીઓએ પણ મદદ કરી હતી. ભારતની મદદ માટે અનેક દેશોમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવવા લાગી હતી. તેમની પાસે ફ્રિકવન્સી સહિત અનેક વસ્તુ માટેના આધુનિક સાધનો પણ હતા. તેમણે લોકોને બહાર કાઢવામાં ખૂબ મદદ કરી હતી.' 'ભૂકંપ પછી 141 ગામો એવા હતા કે તે આખા ગામોને ફરીથી બનાવવા પડે તેમ હતા પછી આ ગામોને ફરી બનાવવા નવા ઘર બાંધવા અનેક સંસ્થાઓ આગળ આવી હતી.' ઘરમાં સૂવા માટે કોઇ તૈયાર નહોતુંતેઓ કહે છે કે, ભૂકંપ તો આવી ગયો પરંતુ તે પછી સતત આફ્ટર શોક આવતા રહેતા. દિવસમાં લગભગ 10-15 આફ્ટર શોક આવતા હતા. લોકો એટલા ડરેલા હતા કે કોઇ ઘરમાં જઇને સૂવા માટે તૈયાર નહોતું. બહાર ઠંડી હતી જેથી લોકો સુધી ગરમ કપડા પહેરવાની અને ઓઢવાની પણ સેવા પૂરી પાડવામાં આવી હતી. કચ્છને આ સમયમાં કલ્પના ન કરી શકાય એટલી બધી મદદ મળી છે. કચ્છના લોકોની ખુમારી પણ એવી કે જેને એક વાર મદદ મળી હોય તે કહેતા કે મને નહીં વધુ જરૂરિયાત બીજાને છે તેમને આપો. 'આ પછી કચ્છને ફરી ઊભું કરવાનું હતું. તે સમયે વાજપેયીએ કહ્યું કે, આપણે એક નવી સારી હોસ્પિટલ બનાવવાની છે એટલે કચ્છની હાલની જનરલ હોસ્પિટલ તે AIIMS કક્ષાની બનાવવામાં આવેલી છે. એ સમયે AIIMSનો સ્ટડી કરીને તેમાંથી પ્રેરણા લઇ આ હોસ્પિટલ બનાવવામાં આવી હતી.' વાજપેયીએ પૂછ્યું કચ્છ માટે શું કરીએ?'વાજપેયીએ પૂછ્યું હતું કે કચ્છને સવાયું કરવા માટે શું કરવું જોઇએ ત્યારે અમે ફંડની ઘટ, દુષ્કાળનું વધુ પ્રમાણ, રસ્તાનો અભાવ વગેરે જેવી અમારી વર્ષો જૂની માંગ હતી તે અમે ફરી મુકી હતી.અમે આ બધી રજૂઆત કરી એટલે વાજપેયીએ કચ્છને ટેક્સ હોલિ ડે જાહેર કર્યું હતું.જેથી અહીં મોટી મોટી કંપનીઓ આવી. આ પછી મુંદ્રા પોર્ટનું પણ ડેવલપમેન્ટ થયું. આ એક કાયદાને કારણે ઇન્ડસ્ટ્રીલાઇઝેશનની શરૂઆત થઇ હતી.' આ રીતે રણોત્સવની શરૂઆત થઇ'2002માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને નર્મદાનું પાણી પણ પૂરું પાડવામાં આવ્યું. અહીંથી નર્મદા ડેમ 700 કિલોમીટર દૂર છે પરંતુ માળિયા સુધી કેનાલથી અને એ પછી પાઇપ લાઇનથી પાણી પૂરું પાડવામાં આવ્યું. રોડનું પણ ડેવલપમેન્ટ શરૂ થયું હતું. નરેન્દ્ર મોદીએ 2006માં એક વિઝન જોયું કે રણને ડેવલપ કરવું છે. આ પહેલા રણનો કોઇ ઉપયોગ નહોતો. તેમણે તે સમયે અબ્દુલ કલામને વાત કરી. અબ્દુલ કલામ પોખરણના રણમાં 15 દિવસ રોકાયા હતા એટલે તેમણે કહ્યું કે કુદરતે આપેલું છે તેનો ઉપયોગ તો હોવો જોઇએ.' 'આ પછી તેમણે નરેન્દ્ર મોદી સાથે મળીને કામ શરૂ કર્યું. નરેન્દ્ર મોદી જ્યારે કોઇ હોદ્દા પર નહોતા ત્યારે તેઓ રણમાં અનેકવાર રોકાતા હતા એટલે તે પરિસ્થિતિ સમજતા હતા. આ પછી તેમણે રણોત્સવ શરૂ કર્યો. કચ્છના લોકોમાં ફરી ઉત્સાહ ઉમેરાય તે માટે પણ કામ કર્યું. અમિતાભ બચ્ચને પણ જાહેરાત કર્યું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આજે કચ્છ મોટી ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી પણ બન્યું છે.' 'સુરેશ મહેતા ઉદ્યોગ મંત્રી હતા એટલે તેમણે ઉદ્યોગ સાહસિકોને આમંત્રિત કર્યા તે સમયે અદાણીએ મુન્દ્રા પોર્ટનું આ કામ લીધું. આ પોર્ટ કંડલા કરતા અનેક ગણું આધુનિક બનાવ્યું.' 'તે સમયે રેલવે બ્રોડગેજ કંડલા સુધી જ આવતી હતી. મારી માંગ હતી કે બ્રોડગેજ ભૂજ સુધી આવે. તે માટે મેં અનેક જગ્યાએ રજૂઆત કરી. એક વખત બજેટ સત્રમાં મને રાત્રે અઢી વાગ્યે સંસદમાં બોલવાનો મોકો મળ્યો હતો ત્યારે મેં રજૂઆત કરી અને તે વખતે રામવિલાસ પાસવાન મંત્રી હતા. તેમણે મારી વાત સમજી અને બ્રોડગેજ મંજૂર કરી. આ પછી ઇન્ફ્રાસ્ટ્રકચર બન્યું.' 'ખડી એવો પ્રદેશ હતો કે ત્યાં જવા માટે રાપર થઇને ફરીને જવું પડતું, લગભગ 150 કિલોમીટર થતા હતા. તે સમયે તો ત્યાં ફોન પણ નહોતા લાગ્યા. ભૂકંપ સમયે પ્રમોદ મહાજન ટેલિકોમ મિનિસ્ટર હતા તેમણે આ પરિસ્થિતિ જોઇ હતી. તેમણે અમને સેટેલાઇટ ફોન આપ્યા હતા. આ પછી પ્રમોદ મહાજને ખડી ગામ દત્તક લીધું હતું.' તેઓ કહે છે કે, કચ્છના વિકાસથી આજે આનંદ થાય છે પરંતુ માત્ર વિકાસ પૂરતો નથી. પર્યાવરણની જાળવણી પણ મહત્વની છે. કચ્છમાં બેલેન્સ જરૂરી છે. અહીં વિકાસ તો થાય છે પરંતુ તેનું બેલેન્સ જરૂરી છે. બિપિન ભટ્ટ રિટાયર્ડ એડિશનલ કલેક્ટર છે. કચ્છમાં ભૂકંપ બાદ પુનઃ વસનની કામગીરીમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નામથી બિપિન ભટ્ટ નગર પણ બન્યું છે. કચ્છના ઇતિહાસમાં કદાચ આ પહેલી એવી ઘટના હશે કે જેમાં કોઇ અધિકારીના નામથી આખું નગર બન્યું હોય. અધિકારી સામે ટાઉન પ્લાનિંગનો મોટો પડકાર હતોબિપિન ભટ્ટે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વર્ષ 2002માં ભૂજ શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી તરીકે મારી ત્યાં નિમણૂક થઇ. મેં લગભગ 10 મહિના કામ કર્યું. નવું આયોજન કરવાનો એક મોટો પ્રશ્ન હતો. એમાં રો-હાઉસના બદલે એપાર્ટમેન્ટનું પ્લાનિંગ કરતાં મને 7 દિવસ લાગ્યા હતા. અમે એક જ દિવસમાં ભરતી કરીને કામ શરૂ કરી દીધું હતું. જ્યાં માંડ સ્કૂટર અને સાયકલ જાય એવી ઘણી ગલીઓની વચ્ચે હાલ મોટું વાહન પસાર થઇ શકે એવા રસ્તાઓનું આયોજન કર્યું હતું. અખબારો, સ્થાનિક લોકો, સ્વૈચ્છિક સંસ્થાઓનો સારો સહયોગ મળ્યો. 'આજે ભૂકંપને 25 વર્ષ થયા છે ત્યારે મને પોતાને સંતોષ છે કે કામ સારું થયું. એ વખતે લોકો ઘણા હેરાન થયા હતા. સ્વજનો ગુજરી ગયા, મકાનો પડી ગયા, ધંધા-રોજગાર ઠપ્પ હતા.' તેમણે કહ્યું કે, આજે ભૂજવાસીઓ આનંદથી નવી સગવડો ભોગવે છે. આજે નવું ભૂજ નવા કલેવર સાથે આનંદથી જીવે છે. હયાત શહેરમાં ટાઉન પ્લાનિંગ કરવાનો આવો પ્રયોગ દુનિયામાં ક્યાંય થયો નથી. એ સુપેરે પાર પડ્યું એનો મને સંતોષ છે. ઝૂંપડપટ્ટીવાળા લોકો, જેમના મકાનો યોજનાના કારણે ખસેડવા પડેલા એ લોકો અને ભાડૂઆતોને પણ મુંબઇના એક NGOની મદદથી પોતાનું ઘર મળ્યું તેનો વિશેષ આનંદ છે. હા, એક વાત છે કે આપણે ઇચ્છીએ કે આપત્તિ આવે નહીં પણ આવે તો ઓછામાં ઓછું નુકસાન થશે એવું મને લાગે છે. કચ્છમાં પાઇપ, ટુવાલ બનવા લાગ્યાગોએન્કા ગ્રુપે 2004માં અંજારમાં વેલસ્પન ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી હતી. 13,500 મિલીયન રૂપિયાના રોકાણ સાથે સ્થપાયેલી આ ઇન્ડસ્ટ્રી આજે કચ્છમાં હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીં પાઇપ્સ, ટુવાલ, બેડશીટ જેવી વસ્તુઓ બને છે. અંજારના વરસામેડી ગામ પાસે 2500 એકરમાં વેલસ્પન ટાઉનશિપ ફેલાયેલી છે. જેને વેલસ્પન સિટી કહેવાય છે. જેમાં ફેક્ટરી, કર્મચારીઓ માટે રહેઠાણ, સ્કૂલ આવેલા છે. ભૂકંપ પછી કચ્છને ફરીથી બેઠું કરવામાં વેલસ્પનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. આમ અનેક લોકોના અથાક પરિશ્રમ અને સંકલ્પથી કચ્છ એ સમયના દુઃખ, દર્દ અને પીડાને પાછળ છોડીને હવે આગળ વધી ગયું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

કચ્છનો ભૂકંપ રબારી:8 મહિનાનો માસૂમ 84 કલાકે કાટમાળમાંથી જીવિત નીકળ્યો, મગજ બહાર નીકળી ગયું, દરગાહે દુઆ કર્યાના અડધી કલાકમાં ચમત્કાર

અંજારની વ્હોરા કોલોનીમાં પોતાના ઘરે બેઠેલા જાહિદ અસગરઅલી લાકડાવાલા 26 જાન્યુઆરી, 2001ના સવારે આવેલા પ્રચંડ ધરતીકંપમાં ધ્રુજી ગયા. તે ઘરમાંથી દોડીને બહાર આવ્યા તો ચારેય દોડાદોડી થઈ રહી હતી. અફરાતફરીનો માહોલ હતો. અસગરઅલીને ખબર પડી કે ભૂકંપમાં વ્હોરા કોલોનીમાં રહેતા 300 લોકોમાંથી 123 લોકોનાં મોત થયાં છે. સદ્દનસીબે અસગરઅલીના ઘરને ખાસ નુકસાન થયું નહોતું. તેનો પરિવાર પણ બચી ગયો હતો. અસગરઅલી સેવાના કામમાં લાગી ગયા. સેવા કરતાં કરતાં વિચાર આવ્યો કે, મારા સાસરાંપક્ષના લોકોનું શું થયું હશે? પછી તરત ઝબકારો થયો કે, એ લોકો તો માંડવી ગયા છે. ત્યાં ખાસ નુકસાન હશે નહિ, છતાં જઈને જોઈ આવીએ. અંજારથી માંડવી 86 કિલોમીટર થાય. લગભગ સવા કલાકનો રસ્તો. જઈને જોયું તો મારા સસરાપક્ષનો આખો પરિવાર કાટમાળમાં દટાઈ ગયો હતો. કોઈ બચ્યું નહોતું. સસરા, સાળા, તેની પત્ની અને બીજા ત્રણ સભ્યોનાં મોત થઈ ચૂક્યાં હતાં. સાસુ બચી ગયા હતા, કારણ કે તે મોરબી હતા. આ બધા વચ્ચે કુટુંબનું એક બાળક જીવિત હતું. ઈટ્સ અ મિરેકલ. કાટમાળમાં દટાઈ રહેલું માત્ર આઠ મહિનાનું નાનું બાળક ત્રણ દિવસ સુધી દટાયેલું રહે ને પછી જીવતું બહાર નીકળે તે ચમત્કારથી કમ નહોતું. આ બાળક કોણ છે, કેવી રીતે જીવતું રહ્યું, તેની વાત એ બાળકના ફૂવા જાહિદ અસગરઅલી લાકડાવાલાએ ભાસ્કર સાથે કરી. અસગરઅલી કહે છે કે મારા સાસુ ભૂકંપ સમયે મોરબી હતાં. પછી તેઓ ભુજ આવ્યા અને તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ, તો તેઓ માંડવીની એક દરગાહમાં ગયા. એ દરગાહનું નામ નૂર હતું. મારા સાસુએ ત્યાં જઈને એક જ દુઆ કરી કે તમારું નામ નૂર છે અને મારા ઘરે અંધારું છે. આ દુઆ કર્યાના અડધા કલાકમાં જ માંડવીથી ફોન આવ્યો કે, ત્રણ દિવસ પછી મૂર્તુઝા જીવતો મળી આવ્યો છે. મૂર્તુઝા એટલે માત્ર આઠ મહિનાનું બાળક. મૂર્તુઝાને મિલિટરી ઓફિસરે બહાર કાઢ્યો હતો. તેની ત્યાં પ્રાથમિક સારવાર કરવામાં આવી પરંતુ તેનું નાનું મગજ બહાર આવી ગયું હોવાથી ડોક્ટરે કહ્યું કે અહીંયા માંડવીમાં સારવાર થાય તેમ નથી. એટલે પહેરેલા કપડે મૂર્તુઝાના નાના તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં તેનો 21 દિવસ ઇલાજ ચાલ્યો. અસગરઅલી કહે છે કે જ્યાં માંડવીમાં દુર્ઘટના બની ત્યાં અમારા પીર સાહેબ ને બધા ત્યાં હતા. કોઈએ કહ્યું પણ ખરું કે કાટમાળ નીચેથી કાંઈક અવાજ આવે છે પરંતુ બધાએ એમ કહીને અવગણી દીધું કે કદાચ કૂતરાનો રડવાનો અવાજ આવે છે, પરંતુ ચમત્કારિક રીતે મીલિટરીના જવાને પથ્થર દૂર કર્યો અને પછી જોયું તો ત્યાંથી મૂર્તુઝા નીકળ્યો અને તેને લઈને બહાર આવ્યા મૂર્તુઝાના ફૂવા અસગરઅલી કહે છે કે મૂર્તુઝાના આવ્યા પછી તે તેના નાની સાથે ભુજના સમીર એપાર્ટમેન્ટમાં રહેતો હતો. અમે પણ અંજાર છોડીને ભુજ આવી ગયા. પછી રોજ મૂર્તુઝાને મળવા જતા હતા. એ દોઢ વર્ષનો થયો એટલે સતત મમ્મી-પપ્પા, મમ્મી-પપ્પા કરતો હતો. માતા-પિતાને યાદ કરતો હતો અને અમે ત્યાં ગયા ને અચાનક કંઈક સૂઝ્યું અને અમે તેને દત્તક લઈ લીધો. અમારો એક દીકરો છે મહંમદ. તેને અમે અમારા સાસુને આપી દીધો. અમે મૂર્તુઝાની પરવરિશ મારા સગા દીકરાની જેમ કરી. એમાં મારી પત્નીનું મોટું યોગદાન છે. અસગરઅલી ભીની આંખે કહે છે કે જેટલો પ્રેમ મને મારા દીકરાથી મળ્યો છે તેનાથી વિશેષ પ્રેમ મને મૂર્તુઝાથી મળે છે. જ્યારે જ્યારે ભૂકંપની વાત આવે ત્યારે એ વાત યાદ આવે છે કે ભૂકંપમાં અમારા આખા પરિવારનો માળો વિખાઈ ગયો અને અમે છ લોકો ગુમાવ્યા. ભૂકંપના કાટમાળમાંથી બહાર આવનાર આઠ મહિનાનું બાળક મૂર્તુઝા આજે 25 વર્ષનો યુવાન થઈ ગયો છે. ભાસ્કરે મૂર્તુઝા સાથે વાત કરી. મૂર્તુઝા હાલ ભુજમાં જ રહે છે અને પોતાનો હાર્ડવેરનો વ્યવસાય કરે છે. એ પોતાના ફૂવા અને પાલક પિતા અલીઅસગર સાથે જ રહે છે. ભાસ્કરે મૂર્તુઝાને પૂછ્યું કે તમને નાનપણનું કાંઈ યાદ છે? વાતચીતમાં મૂર્તુઝા કહે છે કે હું નાનો હતો ત્યારે મારાં દાદી સાથે રહેતો હતો. હું જ્યાં રહેતો ત્યાં બધા મારા સમાજના લોકો રહેતા હતા. મને આછું આછું યાદ છે કે હું નાનો હતો ત્યારે માતા પિતા સાથે ફરવા જતો. હું દાદી સાથે જતો. ઉંમર વધી ત્યારે મને પ્રશ્ન થતો કે મારા મમ્મી પપ્પા ક્યાં છે? મને કેમ કોઈ બહાર નથી લઈ જતું? મારે કેમ ઘરમાં જ પુરાઈને રહેવું પડે છે? આ સવાલો મને ઘેરી વળતા હતા. મૂર્તુઝા કહે છે કે મમ્મી-પપ્પા વિશે જાણવાની જીદ્દ વધતી ગઈ ત્યારે પરિવારે મને શાંતિથી બેસાડી સમગ્ર ઘટનાની જાણ કરી. તે ઉંમરે તો હું આ સ્વીકારી ન શક્યો પરંતુ સમય સાથે હકીકત સ્વીકારી લીધી. મૂર્તુઝા કહે છે કે હું ચાર-પાંચ વર્ષનો હતો, ત્યારે મારા દાદીએ મને મારા ફૂવાને આપી દીધો અને તેમના દીકરાને મારા દાદીએ લઇ લીધો. પછી તો મારા ફૂવાએ-ફઈએ મને એવી રીતે રાખ્યો જાણે તે મારા સગા માતા પિતા હોય. મૂર્તુઝા કહે છે કે અમારા ઇસ્લામમાં પણ લખ્યું છે કે ખુદાની મરજી વગર પાંદડું પણ નથી હલતું. આ વાત અને વિચારને હું આજે પણ સાથે રાખીને ચાલુ છું. આપણો જન્મ ક્યાં થશે, કયા પરિવારમાં થશે, મૃત્યુ ક્યારે થશે કંઈ આપણા હાથમાં નથી, એટલે મારા મમ્મી-પપ્પાનું આયુષ્ય કેટલું હતું, તે એમના હાથની વાત નહોતી, પરંતુ તે જેટલું પણ જીવ્યા, સરસ જિંદગી જીવીને ગયા.. આજે 25 વર્ષ પછી પણ અનેક લોકો મારી દુકાને આવે ત્યારે પૂછે છે કે તું એમનું જ સંતાન છે? ત્યારે મને ગર્વ થાય છે તેઓ પોતાની પાછળ નામ મૂકીને ગયા છે. આજે પણ મૂર્તુઝા ચહેરા પર તે સમયના કાટમાળ વાગ્યાના નિશાન એ તેને આ ઘટનાની સતત યાદ અપાવે છે. તે પોતાના નાના સાથેની યાદગાર ક્ષણને યાદ કરતાં કહે છે કે જ્યારે મને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે સૌ પહેલાં મને હોસ્પિટલ લઈ ગયા. હું જનમ્યો ત્યારથી મારા નાના મને રોજ બહાર આંટો મારવા લઈ જતા. મારા નાનાને એવી ખબર પડી ત્યારે તેઓ ભાગતા હોસ્પિટલ આવ્યા ત્યારે મિલિટરીવાળાએ પૂછ્યું કે આ તમારો દોહિત્ર છે એની શું ખાતરી? ત્યારે જેવા મેં મારા નાના ને જોયા તરત જ મારા હાથ લંબાવ્યા કારણકે તેઓ મને રોજ ફરવા લઈ જતા હતા. મારા મગજમાં કદાચ એક પેટર્ન બંધાઈ ગઈ હશે અને આ દ્રશ્ય જ્યારે જોયું ત્યારે તમામ લોકોએ સ્વીકારી લીધું કે હા, એ જ મારા નાના હતા. અમે પૂછ્યું કે જ્યારે ભૂકંપ શબ્દ જીવનમાં સંભળાય છે ત્યારે સૌથી પહેલા શું યાદ આવે? ત્યારે મૂર્તુઝા કહે છે કે જ્યારે પણ ભૂકંપ શબ્દની ચર્ચા થાય ત્યારે સૌથી પહેલાં મને મારો પરિવાર યાદ આવે છે. આજે પણ લોકો 25 વર્ષ પછી પણ મારા પરિવારને યાદ કરે છે હું એ જ વિચારું છું કે તેઓ જીવન જીવ્યા હશે કે લોકો આજે પણ તેમને યાદ કરે છે. મારા પિતાનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર માત્ર 24 વર્ષ હતી. તેમને આટલી નાની ઉંમરમાં ખૂબ નામ અને ઈજ્જત કમાઈ હતી. મૂર્તુઝા વાત આગળ વધારતાં કહે છે કે મારા ફૂવાના બે સંતાન છે અને હું ત્રીજો. અમે ત્રણેય ભાઈઓ સાથે જ રહીએ છીએ. અમારે ત્રણેયના લગ્ન થઈ ગયા છે. આ પછી પણ અમે સંયુક્ત કુટુંબમાં જ રહીએ છીએ. હું આજે પણ મારા ફઈબા અને ફૂવાને મમ્મી પપ્પા તરીકે જ માનું છું અને એ રીતે જ માનીશ. કહે છે કે ભગવાન કંઈ છીનવી લે તો કંઈક બીજું આપી દેતો હોય છે. આજે ખુદાએ મારો પરિવાર તો છીનવી લીધો પરંતુ મારા ફઈ અને ફૂવાથી નવો પરિવાર પણ મને આપ્યો છે. આજે પણ જો કોઈને તકલીફમાં જોવું તો તેમને બની શકે તેટલી મદદ કરવાનો પ્રયત્ન કરું છું અને જો કોઈ માનસિક રીતે હતાશ થઈ ગયું હોય તો તેને માનસિક મનોબળ પૂરું પાડવાનું કામ કરું છું. હવે વાત એવા પરિવારની કરીએ, જેના દીકરાને અમેરિકન ડોક્ટરે ‘ભૂકંપ’ નામ આપ્યું છે… જે દિવસે ભૂકંપ આવ્યો, 26 જાન્યુઆરી 2001 8:46 મિનિટે, તેની બરાબર પાંચ મિનિટ પછી 8:51 વાગ્યે એક બાળકનો ગજબનાક સંજોગોમાં જન્મ થયો. તેની માતાએ માંડ-માંડ પોતાનો ને તેના દીકરાનો જીવ બચાવ્યો. ટાંકણે થયું એવું કે અમેરિકાથી ડોક્ટરોની એક ટુકડી સારવાર માટે કચ્છ પહોંચી હતી. તેમાંથી એક ડોક્ટરે આ બાળક ને તેની માતાની સારવાર કરી. ડોક્ટરે પૂછ્યું, આ બાળકનું શું નામ છે? માતાએ કહ્યું, હજી તો કાંઈ રાખ્યું નથી. ત્યારે ડોક્ટર બોલ્યા, આનું નામ ‘ભૂકંપ’ જ રાખી દો !! આ પરિવારના ઘરે પહોંચીને ભાસ્કરે વાતચીત કરી. જેનું નામ ‘ભૂકંપ’ રાખ્યું તે ભૂકંપ રબારી આજે 25 વર્ષનો યુવાન છે. સૌથી પહેલાં અમે તેમના માતા શનિબેન રબારી સાથે વાતચીત કરી. તે ભચાઉના રબારીવાસમાં રહે છે. ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. શનિબેન કહે છે કે એ દિવસે અમે તો સવારમાં વાડીએ હતા. વાડીએથી જેવા ઘરે પહોંચ્યા ત્યાં ભૂકંપ આવ્યો.. એક તરફ મને દીકરો આવે તેમ હતો અને બીજી તરફ બધું જ પડી ગયું. પરંતુ સદનસીબે અમે મા દીકરો બચી ગયા. ભૂકંપ આવ્યો તેની થોડાક જ મિનિટોમાં મારા દીકરાનો જન્મ થયો. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે શરૂઆતમાં તો મને એવું લાગ્યું કે કોઈ દારૂ પીને ગાડી ચલાવીને આવ્યું છે અને મારું ઘર ડોલાવે છે. શું થાય છે તે કાંઈ સમજાતું નહોતું. થોડું ભાન આ્વ્યું ને જોયું તો બધું તો પડી ગયું હતું. અમે નજીકના પટમાં જ પડ્યા હતા. એવામાં એક બહેન આવ્યાં. મારી ઉંમર લાયક માતા પણ બાજુમાં બેઠી હતી. એ બહેને મારી માતાને પૂછ્યું કે આ બહેન કેમ અહીંયા આવી રીતે સુતા છે? મારી માતાએ હકીકત જણાવી કે એમને સંતાન જન્મે એમ છે. પરંતુ અમારી પાસે ખાવા પણ કંઈ નથી તો અમને કેવી રીતે ક્યાંય લઈ જવા? પરંતુ પછી એ બહેને મદદ કરી અને આ દીકરાનો જન્મ થયો. એ કહે છે કે દીકરાને જન્મ આપ્યો પછી બે દિવસ સુધી તો કંઈ જમવા પણ નહોતું મળ્યું. શનિબેન વાત આગળ વધારતાં કહે છે, તમને જ્યારે શહેર લઈ ગયા ત્યારે બહેને પૂછ્યું કે દીકરાનું નામ શું છે? ત્યારે મેં કહ્યું કે કોઈ નામ પાડ્યું નથી. ત્યાં એક ડોક્ટર હતા. તેમણે કહ્યું કે આનું નામ ‘ભૂકંપ’ પાડી દેવાનું છે. એ વખતે મેં કહ્યું કે જે નામ આપવું હોય એ આપો. મને કંઈ વધારે ભાન નથી. અમે સારવાર પછી ઘરે આવી ગયા. પછી પણ ત્રણ ચાર દિવસ સુધી નાહવા માટે પણ પાણી નહોતું મળ્યું. એ પછી ટેન્કર ગામમાં આવ્યું અને પછી એ સુવિધા થઈ. શનિબેન રબારી કહે છે કે મારી એક મોટી દીકરી પણ કાટમાળમાં દટાઈ ગઈ હતી. પરંતુ ભગવાનની દયાથી અમે મા-દીકરો અને પરિવારના સભ્યો બચી ગયા અને અમે ભગવાનનો હૃદયથી ખૂબ આભાર માન્યો. તે કહે છે કે આજે પણ જો ભૂકંપનો નાનો આંચકો આવે તો ખૂબ ડર લાગે છે ભૂકંપનો આંચકો આવે એટલે તરત એમ થાય કે જેમ બને એમ દૂર ભાગી જઈએ. મને તો ભૂકંપ શબ્દથી નફરત નથી. કેમ કે મારા દીકરાનું નામ ભૂકંપ છે. મને તો મારા દીકરા ભૂકંપથી ખૂબ આશા છે. એના આધારે તો અમે જીવીએ છીએ. શનિબેન રબારી સાથે વાત પૂરી કરીને અમે ‘ભૂકંપ રબારી’ સાથે વાત કરી. તે અત્યારે એક કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ભૂકંપ કહે છે કે સૌથી પહેલાં મેં મારી નામ પડવાની કહાની મારા મમ્મી પાસેથી સાંભળી હતી. તે કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે આજુબાજુના મિત્રો ‘ભૂકંપ ભૂકંપ..’ કરતા હતા. પહેલા તો કંઈ વધારે ખબર ન પડતી પરંતુ સમજણો થયો ત્યારે થયું કે આ લોકો કેમ આવી રીતે બોલાવે છે… ત્યારે મેં મારી માતાને પૂછ્યું અને તેમણે આખી કહાની કીધી. તેમણે કહ્યું કે વિદેશથી આવેલા સાહેબ મારું નામ ભૂકંપ રાખીને ગયા છે. આટલી મોટી દુર્ઘટનામાં પણ અમે બચી ગયા એટલે મારા માટે તો ભૂકંપ લકી નામ છે. જ્યારે પણ કોઈ ભૂકંપની વાત કહે ત્યારે મગજમાં સતત એ જ વિચાર્યા કરું છું કે હું બચ્યો કેવી રીતે હોઈશ. ‘ભૂકંપ રબારી’ કહે છે કે એ દિવસે પણ મમ્મીએ પોતાનું ધ્યાન રાખ્યું ને મારું ધ્યાન રાખીને અમને બચાવ્યા હતા. હું આજે પણ મારે મમ્મીને પાંચ દિવસ અળગા નથી મૂકી શકતો. એ પણ તેઓ ક્યાંય બહાર જાય તો સખ નથી થતું. ભૂકંપના જન્મ સમયની ઘટના સમયે ત્યાં હાજર ‘ભૂકંપ’ના મામા ગાભાભાઇ રબારી સાથે પણ અમે વાતચીત કરી. ગાભાભાઈ કહે છે કે એ દિવસે હું ઘટના સ્થળે હાજર જ હતો. 8.46 ભૂકંપ આવ્યો અને 8.51 એ મારા ભાણાનો જન્મ થયો. આવું બન્યું ત્યારે હું જ ડોક્ટરને દોડીને લઈ લાવ્યો હતો. જ્યારે મારા બહેનને પ્રસુતિનો દુખાવો ઉપડ્યો ત્યારે સૌ પહેલા હું દાયણ લઈ આવ્યો હતો તેમનાથી કામ પતી ગયું હતું, નર્સ આવ્યા પરંતુ ત્યાં સુધીમાં ભાણાનો જન્મ થઈ ચૂક્યો હતો. ભૂકંપની દુર્ઘટના સમયે વિદેશથી અનેક ડોક્ટરો હેલિકોપ્ટરથી મદદ માટે આવ્યા હતા. તેઓ તપાસ માટે અહીં આવ્યા ત્યારે અમેરિકાના ડોક્ટરે એમ કહ્યું કે આ દુર્ઘટનામાં બચી ગયો છે તો આનું નામ ‘ભૂકંપ’ પાડી દઈએ. આમ એના જન્મના પાંચમા દિવસે અમેરિકન ડોક્ટરે તેનું નામ ભૂકંપ પાડ્યું હતું. ગાભાભાઈ કહે છે કે મને તો તે દિવસે પણ બીક નહોતી. આજે પણ ભૂકંપની બીક નથી. પરંતુ જ્યારે પણ આંચકા આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને નુકસાન ન થાય. જ્યારે આવી વિકટ પરિસ્થિતિ હતી ત્યારે પણ સરળતાથી ડોક્ટર મળી ગયા હતા. એ ડોક્ટરને મેં ભગવાન જ માન્યા હતા. તેઓ ભગવાન બનીને આવ્યા હતા અને અમારી રક્ષા કરી હતી. આમ તો અમેરિકન માટે ભૂકંપ શબ્દ નવો હતો. કારણ કે એ લોકો અર્થક્વેકથી જ ઓળખતા હતા, પણ ગુજરાત આવીને વારંવાર ભૂકંપ શબ્દ સાંભળ્યો તો યાદ રહી ગયો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

નેતાએ ભુંડ પકડવાનો નુસખો દેખાડ્યો ને સાંસદ હસી પડ્યા:જોઈ લો, મંચ પરથી મોટી મોટી વાતોનો VIDEO; ઠાકોર સમાજે જાગૃતિ માટે આદિત્ય ગઢવી પાસે ગીત ગવડાવ્યું

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

CMAT-2026ની પરીક્ષા:ભાવનગર સહિત રાજયના 11 સેન્ટરમાં આવતીકાલે લેવાશે સીમેટની પરીક્ષા

ભાવનગર શહેરમાં તા.25 જાન્યુઆરીને રવિવારે નેશનલ ટેસ્ટીંગ એજન્સી, નવી દિલ્હી દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવેલી એમબીએ અને એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે સીમેટની પરીક્ષા CMAT-2026ની પરીક્ષા 3 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાશે. સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી સિંગલ શિફ્ટમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડ દ્વારા કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ યોજાશે. ઉમેદવારોને પરીક્ષાના સમાચારના અપડેટ્સ માટે NTA વેબસાઇટ https://nta.ac.in/ અને https://cmat.nta.nic.in/ ની મુલાકાત લેવી. ગુજરાતમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, ભુજ, હિંમતનગર, રાજકોટ, આણંદ, જામનગર, મહેસાણા, સુરત, વડોદરા અને વલસાડ/વાપી ખાતે આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માત્રાત્મક ટેકનિક અને ડેટા અર્થઘટન, તાર્કિક તર્ક, ભાષા સમજણ, સામાન્ય જાગૃતિ અને નવીનતા અને ઉદ્યોગસાહસિકતા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉમેદવારોની ક્ષમતાનું મૂલ્યાંકન કરશે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ પ્રતિબંધો ફરમાવ્યા છે. જે મુજબ પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ, સ્કેનર તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા કે તેના ઉપયોગ પર. પરીક્ષા કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષાનું માળખુંઆ પરીક્ષા રવિવારે લેવામાં આવશે. ત્રણ કલાકની આ કસોટીમાં કુલ 100 પ્રશ્નો પુછાશે અને કુલ ગુણ 400 રહેશે. પરીક્ષા કમ્પ્યૂટર બેઇઝડ લેવામાં આવશે. સાચા જવાબના 4 ગુણ રહેશે જ્યારે ખોટો જવાબ આપો તો માઇનસ 1 ગુણ કપાશે. ટકા, સરેરાશ, નફા-નુકશાન, સમયકામ વિગેર પર વધુ ધ્યાન આપવું. શોર્ટ ટ્રિક્સ અપનાવવી કારણ કે 100 પ્રશ્નો હોય છે. ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જ પ્રવેશ લઇ લે છેMBA અને MCAમાં પ્રવેશ માટે લેવામાં આવતી CMATની પરીક્ષા આપ્યા વિના જ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી જોવા મળી રહી છે. કારણ કે, આ કોર્સમાં ઘણી સીટો ખાલી રહેતી હોવાને કારણે અનેક કોલેજો અને ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ જ પ્રવેશ આપી દે છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે કોઈ વિદ્યાર્થીને ટોપની કોલેજમાં પ્રવેશ લેવો હોય તે જ CMATની પરીક્ષા આપવાનો આગ્રહ રાખે છે. બાકી ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જ પ્રવેશ લઇ લે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:59 am

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ પગલું:ઉદ્યોગ સાહસિકતા માટે જ્ઞાનમંજરીના ગુજરાત સરકાર સાથે એમઓયુ થયા

જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત સરકારના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે વ્યૂહાત્મક ભાગીદારીના સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે. ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાંરૂપે, જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનરેટ હેઠળના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે સમજૂતી પત્ર (MoU) પર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી અંતર્ગત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માં ઉદ્યોગસાહસિકતા પ્રત્યે પ્રેરણા જગાડવા, સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધારવા તથા નવીન વિચારોને વ્યવસાયિક રૂપ આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ MOUના અમલથી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (EDP), ઉદ્યોગસાહસિક જાગૃતિ કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકોને સ્ટાર્ટઅપ સ્થાપવા માટે જરૂરી માર્ગદર્શન મળી રહેશે. આ સાથે જ, સ્ટાર્ટઅપ્સને જરૂરી પ્રમાણપત્રો, સરકારી યોજનાઓ તેમજ ફંડિંગ અને નાણાકીય સહાય મેળવવા માટે યોગ્ય દિશા નિર્દેશ અને સહયોગ પ્રાપ્ત થશે. ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેના આ મજબૂત સહકારથી સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉદ્યોગસાહસિકો તૈયાર કરવામાં આ સમજૂતી કરાર મહત્વપૂર્ણ સાબિત થશે. જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને સીઈઓ ડો. એચ. એમ. નિમ્બાર્કે જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક ભાગીદારી કરાર (MoU) થકી યુનિવર્સિટીનું ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વધુ સુદ્રઢ બનશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:58 am

કોર્ટનો ચુકાદો:24 વર્ષ પહેલા રેલીમાં તોડફોડના કેસમાં મુસ્લિમ સમાજના આગેવાનોને નિર્દોષ છોડવા કોર્ટનો ચુકાદો

શહેરમાં લગભગ 24 વર્ષ પહેલા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા નીકળેલ રેલી દરમિયાન તોડફોડ અને મારામારીના બનેલ બનાવવામાં પોલીસે સમાજના આગેવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે અંગેનો કેસ આજે કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. 24 વર્ષ પહેલા ભાવનગરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા રેલીનું આયોજન કર્યું હતું. તે રેલી દરમિયાન તોડફોડ અને મારામારીના બનાવો બન્યા હતા. જે બનાવ અંગે જે તે સમયે ભારે ચકચાર મચાવી હતી. આ પ્રકરણમાં મુસ્લીમ સમાજના આગેવાનોને પકડીને તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:57 am

રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આયોજન:અંધાપો રોકવા માટે મોતિયાના દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે

રોટરી ક્લબ ઓફ ભાવનગર છેલ્લા 82 વર્ષથી અનેકવિધ સામાજિક કાર્યો કરી રહી છે. તેના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ ના હેતુસર મોતિયાના દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે સી.એસ.આર. પાર્ટનર અલંગ ઓટો એન્ડ જનરલ એન્જિનિયરિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી શાંતિ કાસ્ટિંગ્સ , નારી રોડ, કુંભારવાડા ખાતે તારીખ 25/1/2026 ને રવિવારે સવારે 9 થી 12 દરમિયાન ભાવનગરના ખ્યાતનામ અને અનુભવી આંખના સર્જન રો. ડો. સંજય સવાણી અને તેમની ટીમ દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવશે તથા જરૂરિયાતવાળા દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. તો જાહેર જનતાને આનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ છે . રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો મોબાઇલ નંબર 9825915676, 9725371912, મોબાઇલ નંબર 9898068540.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:56 am

સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં નિર્ણય:હાઈરાઇઝ બિલ્ડીંગોમાં આગ રોકવા 15 કરોડના ખર્ચે 60 મીટર ઊંચાઈનું રેસ્ક્યુ વાહન ખરીદાશે

સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મહાનગર પાલિકાના અંદાજપત્રની વિસ્તૃત ચર્ચા દરમિયાન ભાવનગર શહેરના લોકોની સુવિધામાં વધારો કરવા અંગે સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો તથા પદાધિકારીઓ દ્વારા આગામી વર્ષમાં ભાવનગર શહેરીજનોની સુવિધામાં વધારો થાય તે માટેની વિવિધ કામગીરી, પ્રોજેકટની અમલવારી કરવા સૂચના આપવામાં આવેલી હતી. ભાવનગર શહેરમાં આઠ-દસ માળથી વધુની બિલ્ડીંગો બની રહી છે ત્યારે સલામતીને લક્ષમાં રાખી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા અંદાજે રૂપિયા 15 કરોડની રકમનું 60 મીટર ઉંચાઈનું રેસ્કયુ કામગીરી માટેનું હાઇડ્રોલીક ટર્ન ટેબલ લેડર વાહન વસાવવા, ફાયર વિભાગ ખાતે આધુનિક બોટ તથા તળાવમાં ઉંડે સુધી રેસ્કયુ - ઇમરજન્સી કામગીરી માટેના રોબોટીક કેમેરા સહિતના સાધનો ખરીદવા કાર્યવાહી કરવા કમિટી દ્વારા જણાવ્યું હતું. જરૂરિયાત મુજબ ટેન્ડરીંગથી આઉટસોર્સીંગથી સ્ટાફ જે-તે એજન્સી પાસેથી લેવામાં આવે છે તે અંગે પોલિસી બનાવવામાં આવનાર છે. શહેરમાં હાલ ઘરવેરા, વ્યવસાયવેરા સહિતના બિલો ઓનલાઇન તથા વોટસએપના માધ્યમથી મોકલવામાં આવે છે તેમાં જે-તે કરદાતાઓનો વેરો બાકી હોય તેઓને પેન્ડીંગ બિલ બાબતે માસિક રિમાઇન્ડર મોકલવાની સિસ્ટમ શરૂ કરવા કાર્યવાહી કરવામાં આવનાર છે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનની હદમાં આવેલ સ્મશાનોને રૂા.75 હજારની વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરી સ્મશાનોની જરૂરિયાત મુજબ રૂા.2 લાખ સુધીની આર્થિક સહાય આપવા અંગે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સૂચના આપવામાં આવેલ છે. હેલ્થ સેન્ટરોમાં વિશેષ ટેસ્ટ રિપોર્ટ પણ થશેહેલ્થ વિભાગ દ્વારા શહેરમાં 3 સી.એચ.સી., 14 પી.એચ.સી. તથા અન્ય આરોગ્ય કેન્દ્રો પર રૂટિન તબીબી રીપોર્ટ સાથે રીએજન્ટ થકી થતા વિશેષ થાઇરોઇડ ફંકશન, ઓટોઇમ્યુન, ટ્યુમર માર્કર(કેન્સર માટે), પ્રી-નેટલ સ્ક્રીનીંગ, ઇન્ફેકશન ડીસીસ, ગ્લાયકોમેટાબોલીઝમ વિગેરેના ટેસ્ટ રીપોર્ટ થઇ શકે તે માટે જરૂરી મશીનો તથા સાધનો વસાવવા સૂચના અપાઈ છે. ગેરંટી પિરિયડ વાળા રોડ રીપેર નહીં કરનાર એજન્સી બ્લેક લિસ્ટ થશેશહેરમાં યુટીલીટી લાઇનો તથા અન્ય કારણોસર જયારે રોડ ખોદવાનો થાય તેમાં થતી કાર્યવાહી અંગે એસ.ઓ.પી. બનાવી રોડ થતા ખર્ચ અનુસાર વસૂલ કરવાના થતા ચાર્જ રિવાઇઝ કરવા ઉપરાંત ગેરંટી પીરીયડવાળા રોડ એજન્સી દ્વારા રીપેર ન કરવાના કિસ્સામાં એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની તથા સરકારની ગાઇડલાઇન મુજબ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:54 am

SIRની કામગીરી:આખરી મતદાર યાદીમાં ભાવનગરમાં નવા નામ માટે 29,295 ફોર્મ મળ્યા

તા.1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) હાથ ધરવામાં આવી છે. જેમાં તા. 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે. હવે તા.22 જાન્યુઆરી સુધીમાં મળેલા ફોર્મ અંગે માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ ભાવનગર જિલ્લામાં નામ કમી અને સુધારણા માટે ફોર્મ નં.7 માટે કુલ 40,555 ફોર્મ મળ્યા છે. જ્યારે નવા નામ માટે જિલ્લામાં 29,295 ફોર્મ મળ્યા છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ ભાવનગરમાંથી 29,295 ફોર્મ 6 અને 6એ મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 40,555 ફોર્મ 7 મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા દાવાઓ અને વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં નવા નામ માટે 6,54,594 અરજીરાજ્યમાં નવા નામ ઉમેરવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, 22 જાન્યુઆરી સુધીમાં નવા નામ ઉમેરવા માટે કુલ 6,54,594 જેટલા ફોર્મ 6 અને 6A મળ્યા છે. આ આંકડો દર્શાવે છે કે યુવા મતદારો અને બાકી રહી ગયેલા નાગરિકોમાં સજ્જતા જોવા મળી છે. નામ કમી-સુધારણા માટે 12,59,229 ફોર્મરાજ્યમાં મતદાર યાદીના શુદ્ધિકરણ અંતર્ગત જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 12,59,229 ફોર્મ 7 પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, વિગતોમાં સુધારણા કે સ્થળાંતર માટે ફોર્મ 8 હેઠળ કુલ 5,04,835 અરજીઓ મળી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:51 am

આગોતરૂ આયોજન:STને અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દોડાવવા કવાયત

2026ના નવા વર્ષના પ્રારંભે ભાવનગર-અમદાવાદને જોડતા એક્સપ્રેસ હાઇવેનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ જવાની સાથે લોકોને સુવિધામાં વધારો થયો છે. ભાવનગરથી અમદાવાદ વચ્ચેનું અંતર 30 કિલોમીટર ઘટી જતા હાલમાં નાના-મોટા વાહનોનો ટ્રાફિક નવનિર્મિત અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વધી રહયો છે ત્યારે અમદાવાદ-ભાવનગર વચ્ચે દોડતી ભાવનગર એસ.ટી. ડિવિઝનની એસ.ટી. બસોને અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દોડાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. અંતિમ તબક્કામાં ચાલતી કામગીરી વચ્ચે ગત 12મી ડિસેમ્બર-2025ના ભાવનગર એસ.ટી. ડેપોની બસને થયેલા અકસ્માત બાદ એક્સપ્રેસ હાઇવે પરથી ચલાવવા પર એસ.ટી. બસોને રોક લગાવવામાં આવી હતી. હાલમાં ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે સંપૂર્ણ સુવિધા સાથે કાર્યરત બનતા નાના-મોટા વાહનો ઉપરાંત ખાનગી બસો પણ દોડવા લાગી છે. જેથી ભાવનગર એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામકે ભાવનગર એસ.ટી. ડિવિઝનની બસોના એક્સપ્રેસ હાઇવે પરથી સંચાલન કરવા બાબતે અમદાવાદ એસ.ટી. ડિવિઝન નિયામક અને પોલીસ વિભાગને પત્ર લખી મંજૂરી માંગી છે. નવા એક્સપ્રેસ હાઇવેના નિર્માણથી ભાવનગર-અમદાવાદ વચ્ચે 140 કિ.મી.નું અંતર માત્ર 2થી અઢી કલાકના સમયમાં કાપી શકાશે. એક્સપ્રેસ હાઇવેના નિર્માણથી ભાવનગર-અમદાવાદ વચ્ચેની અંતર 30 કિ.મી. જેટલું ઘટી જતા લોકો વહેલાસર અમદાવાદ પહોંચી રહ્યા છે. ભાવનગર એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામકે મંજૂરી બાદ એક્સપ્રેસ હાઇવે પરથી એસ.ટી. બસોના સંચાલન કરવા બાબતે કરેલી માંગ મંજુર થયા બાદ એસ.ટી. બસના મુસાફરો પણ અઢીથી ત્રણ કલાકના સમયમાં અમદાવાદ પહોંચી શકશે. વહીવટી મંજૂરી બાદ એક્સપ્રેસ હાઇવે પરથી બસો ચાલશેઅમદાવાદને લગતા કેટલાક એસ.ટી. બસોના રૂટોની બસોનું એક્સપ્રેસ હાઇવે પરથી સંચાલન કરવા મંજૂરી માંગી છે. જેની વહીવટી મંજૂરી બાદ એક્સપ્રેસ હાઇવે પરથી બસો ચાલશે. - આર.ડી.પીલવાઈકર, ડિવિઝન કન્ટ્રોલર, ભાવનગર એસ.ટી. ડિવીઝન અમદાવાદને લગતી 20 એસ ટી. બસોની માંગી મંજૂરીભાવનગર એસ.ટી. ડેપોમાંથી ઉપડતી અને ભાવનગર પરત આવતી ભાવનગર-અમદાવાદ (ઉપડવાનો સમય : સવારે 5, 6:15, 11, બપોરે 12:30, 3 સાંજે 7, 10 રાત્રે 12:30), કાળિયાબીડ-અમદાવાદ (ઉપડવાનો સમય : સવારે 7:45) તથા ભાવનગર આવતી ગાંધીનગર-ભાવનગર (ઉપડવાનો સમય : રાત્રે 12:05) રૂટની 20 એસ.ટી. બસો બાબતે મંજૂરી માંગી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:49 am

સીએસટી, કુર્લા, પ્રભાદેવી પર ક્રાઉડ મેનેજમેન્ટ માટે સર્વે હાથ ધરાશે

સર્વેના તારણોને આધારે સ્ટેશન પર અનેક ફેરફારો થશે પુણે અને નાસિક સ્ટેશનો પર પણ આવો સર્વે કરાશેઃ દરેક સ્ટેશન માટે ખાસ ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન રચાશે મુંબઇ - મુંબઇ સબર્બન ટ્રેનોમાં દિવસો દિવસ વધતી જતી ભીડને ધ્યાનમાં લઇ પેસેન્જરોની સલામતી અને સુવિધા માટે સ્ટેશનોનો સર્વે કરીને પછી ભીડ નિયમન માટેની યોજના ઘડવામાં આવશે. ધ રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (આરઆઇટીઇએસ) તરફથી મુંબઇના પરાંના સ્ટેશનો અને બહારગામની ટ્રેનોના ટર્મિનસો પર પ્રવાસીઓને રોજિંદી અવરજવર અને ધસારાને સમયે થતી ભારે ભીડની બાબતે વિગતવાર સર્વે કરવામાં આવશે. મહારાષ્ટ્રના અન્ય મહત્વના શહેરોના સ્ટેશનો પર પણ આ રીતે સર્વે હાથ ધરવામાં આવશે.

ગુજરાત સમાચાર 24 Jan 2026 5:30 am

રાજકોટ ચેમ્બરે કસ્ટમ્સને રિફંડ ચૂકવવા આપ્યું અલ્ટિમેટમ:નિકાસકારોના કરોડો રૂપિયા અટવાયા રિફંડ અટકતા ઉદ્યોગકારો નારાજ

રાજકોટ–સૌરાષ્ટ્રના હજારો નિકાસકારોના લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું IGST રિફંડ યાંત્રિક ખામીને કારણે લાંબા સમયથી અટકેલું હોય નિકાસક્ષેત્રમાં ગંભીર નાણાકીય સંકટ સર્જાયું છે. આ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુંદ્રા કસ્ટમ્સ કમિશનરને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાના જણાવ્યા મુજબ નિકાસકારો દેશના અર્થતંત્રનો મજબૂત આધારસ્તંભ છે. વિદેશી મૂડી રોકાણ વધારવામાં તેમજ રોજગાર સર્જવામાં નિકાસક્ષેત્રનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમ છતાં નિકાસકારોના IGST રિફંડ અટકાવાતા તેમની નાણાકીય સ્થિતિ ગંભીર રીતે અસરગ્રસ્ત બની છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:29 am

રાજકોટનું ગૌરવ:દોઢ વર્ષમાં અટલ સરોવરની 14 લાખ સૌંદર્ય-પ્રકૃતિપ્રેમીઓએ મુલાકાત લીધી

રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો હીરા સમાન અમૂલ્ય પ્રોજેક્ટ, અટલ સરોવર, આજદિન સુધી 14 લાખથી વધુ મુલાકાતીઓ માટે ખુલ્લું થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2024માં આ સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું અને 1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસ પર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. સોલાર પેનલ સાથે 600 ફોર-વ્હિલર અને 1000 ટૂ-વ્હિલર પાર્કિંગ, બે એમ્ફિથિયેટર, ખુલ્લા અને બંધ ફૂડ કોર્ટે, 58 દુકાનો અને વિશાળ પ્રવેશ પ્લાઝા જેવા આધુનિક માળખા દ્વારા આ સરોવર શહેરની શાન વધારતું કેન્દ્ર બની ગયું છે. 75 એકરમાં ફેલાયેલા સરોવરની વિશેષતા એ છે કે તેને ‘રિડ્યૂસ, રિયૂઝ અને રિસાઇકલ’ના 3R સિદ્ધાંતો પર વિકસાવવામાં આવ્યું છે. 25 એકરમાં 477 મિલિયન લિટર પાણી સંગ્રહ ક્ષમતા અને બાકીના 50 એકરમાં હરિત ક્ષેત્ર, મનોરંજન અને જાહેર સુવિધાઓ છે. ચોમાસામાં વરસાદી પાણીનું કુદરતી સંગ્રહ અને ઉનાળા દરમિયાન રિસાઇકલ પાણીનો પ્રયોગ કરીને આ સરોવર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત 3R સિદ્ધાંતોનું પ્રદર્શન કરે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:28 am

પત્નીએ કર્યો આપઘાત:પતિ પ્રેમિકા સાથે ભાગી જતાં પત્નીનો ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ

લગ્ન બાદ અનૈતિક સંબંધોના કિસ્સાઓમાં સ્ત્રી અથવા પુરુષ જીવલેણ પગલાં ભરી લેતા હોય છે, અંતે પરિવારનો પણ માળો વિખાઇ જાય છે. એવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં પત્નીએ પરસ્ત્રી સાથે પતિની અંગત પળોની તસવીર પતિના મોબાઈલમાં જોઈ જતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પતિ તેની પ્રેમિકાને લઈને ભાગી જતા પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના 80 ફૂટ રોડ, સત્યમપાર્કમાં પતિ પ્રેમિકા સાથે ભાગી જતા પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરતા પત્નીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલા પતિના મોબાઇલમાંથી થોરાળાની મહિલા સાથે પતિના અંગત પળોની તસવીરો પત્ની જોઈ ગઈ હતી. આ બાબતે પતિને પૂછતાં પતિ લાજવાને બદલે ગાજવા લાગ્યો હતો. પતિએ લાજ-શરમ નેવે મુકીને પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જે પછી તા.14 જાન્યુઆરીના રોજ પતિ બે બાળકોની માતા એવી સ્ત્રી મિત્ર સાથે કોઈ જગ્યાએ નાસી ગયો હતો. પત્નીએ ઘણી જગ્યાઓએ જઈ શોધખોળ કરી પણ બંનેની કોઈ ભાળ મળી નહોતી. અંતે પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેણી સારવાર હેઠળ છે. પોલીસે તેણીનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:25 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:મુંબઇથી ભાઈને મળવા રાજકોટ આવેલા યુવકનું અકસ્માતમાં મોત

શહેરના સામા કાંઠે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં રાજકોટ નાનાભાઈને મળવા માટે મુંબઈથી ચાર દિવસ પહેલા નીકળેલા યુવકનું ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો બાઇકચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ નેપાળનો અને હાલ મુંબઇ હોટેલમાં રહી નોકરી કરતો કલ્પેશભાઇ હિમ્મતભાઇ વિશ્વકર્મા(ઉ.વ.30) નામનો યુવાન રાતે પેડક રોડ પ્રમુખ સ્વામી આર્કેડ પાસે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો બાઇકચાલકે ઠોકર મારી ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર કલ્પેશભાઇ બે ભાઈ અને બે બહેનમાં મોટો હતો. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ચારેક દિવસ પહેલા તે મુંબઇથી રાજકોટ આવ્યો હતો. તેનો ભાઇ રણછોડનગર વિસ્તારમાં રહેતો હોય તેને મળવા આવ્યો હતો. રાતે તેનો ભાઇ અરૂણ પેડક રોડ પર પંજાબી ચાઇનીઝના ફૂડ સ્ટોલ પર હતો તેને મળીને ચાલીને રણછોડનગરમાં ભાઈના ઘરે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:22 am

સગીરા દ્વારા આપઘાતનો પ્રયાસ:કૌટુંબિક મામા સાથે લગ્ન કરવાની જીદ ન સંતોષાતા સગીરાનો આપઘાતનો પ્રયાસ

કળિયુગે માઝા મૂકી છે. કૌટુંબિક મામા સાથે 16 વર્ષની સગીરાને પ્રેમસંબંધ બંધાયો હોય જે બાબતે માવતરે ઠપકો આપતા તેણીએ ફિનાઇલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની પ્રાત વિગત અનુસાર, શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય સગીરાએ વહેલી સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પીએસઆઈ ગજેરા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સગીરાને કૌટુંબિક મામા સાથે પ્રેમસંબંધ હોવાનું પરિવારને માલૂમ પડતા માતા-પિતાએ તેણીને આ અંગે ઠપકો આપ્યો હોય જે વાતનું માઠું લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યા મુજબ, સગીરાના માતા-પિતાએ તેણીને અન્ય યુવક સાથે પરણાવવાની વાત કરતા મામા સાથે પ્રેમસંબંધ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. માતા-પિતાએ તેણીને પ્રેમસંબંધ ન રાખવા બાબતે ઠપકો આપતા તેણીએ આ પગલું ભર્યું છે. પોલીસે સગીરા અને તેના માતા-પિતાનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:22 am

યુનિ.એ નમતું જોખ્યું:ભારે વિરોધ બાદ Ph.D ફીમાં આંશિક ઘટાડો, પણ જૂના વિદ્યાર્થીઓ પર હજુ લટકતી તલવાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D કરી રહેલા સંશોધક વિદ્યાર્થીઓ પર ઝીંકવામાં આવેલા 260% જેટલા અસહ્ય ફી વધારાના મામલે યુનિવર્સિટી સત્તાધીશોએ નમતું જોખવું પડ્યું છે. વિદ્યાર્થીઓના વિરોધ અને રજૂઆતોને પગલે યુનિવર્સિટી દ્વારા ફીમાં આંશિક ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ છે કે, આ વધેલી ફી માત્ર નવા એડમિશન લેનારા વિદ્યાર્થીઓને લાગુ પડશે કે હાલમાં અભ્યાસ કરી રહેલા જૂના વિદ્યાર્થીઓને પણ? યુનિવર્સિટીએ હજુ સુધી આ બાબતે કોઈ લેખિત સ્પષ્ટતા કરી નથી. જોકે પરિપત્રમાં આ ફી વધારો વર્ષ 2025-26થી અમલી બનશે તેવું દર્શાવાયું છે. જો આ ફી વધારો જૂના વિદ્યાર્થીઓ પર થોપવામાં આવશે, તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના હજારો સંશોધકો પર આર્થિક બોજ વધશે. ઘણા વિદ્યાર્થીઓનું Ph.D. અંતિમ તબક્કામાં છે અથવા અડધે પહોંચ્યું છે, જેથી તેઓ હવે અભ્યાસ છોડી શકે તેમ નથી. આવા સંજોગોમાં ઊંચી ફી ભરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં. વિદ્યાર્થી સંગઠનોની માંગ છે કે, યુનિવર્સિટી વહેલી તકે જૂના વિદ્યાર્થીઓ માટે રાહતની જાહેરાત કરે, જેથી મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું સંશોધન કાર્ય અટકે નહીં. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે, જે વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, તેમને જૂની ફી મુજબ જ અભ્યાસ પૂર્ણ કરવા દેવામાં આવે. કારણ કે, સંશોધન કાર્ય અડધે પહોંચ્યા પછી ફીના વધારાને કારણે તે છોડવું શક્ય નથી, જેના કારણે વિદ્યાર્થીઓ ‘’નાછૂટકે’’ ઊંચી ફી ભરવા મજબૂર બનશે. હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી આગામી દિવસોમાં જૂના વિદ્યાર્થીઓ માટે કોઈ હકારાત્મક નિર્ણય લે છે કે પછી વિવાદ વધુ વકરશે. યુનિવર્સિટીના નવા નિર્ણય મુજબ, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટર્મ ફી જે અગાઉ રૂ.4600 નક્કી કરાઈ હતી, તેમાં ઘટાડો કરી હવે રૂ.3600 કરવામાં આવી છે. જ્યારે અન્ય તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ટર્મ ફી રૂ.3600થી ઘટાડીને રૂ.2600 કરવામાં આવી છે. એક રાહતના સમાચાર એ છે કે, અગાઉ જે લાઇબ્રેરી ફી દરેક ટર્મમાં ભરવી પડતી હતી, તે હવેથી કોર્સ દરમિયાન માત્ર એક જ વાર ભરવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:19 am

કેન્દ્રીય બજેટ પૂર્વે ગ્રેટર રાજકોટ ચેમ્બરની રજૂઆત:ડાયરેક્ટ ટેક્સ, TDS સરળતા, વિભાગીય વિલંબ સામે વ્યાજ વળતર માટે નાણામંત્રીને મેમોરેન્ડમ

કેન્દ્રીય બજેટ રજૂ થવા પૂર્વે સૌરાષ્ટ્રના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ સાથે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પરંપરા મુજબ નાણામંત્રીને પ્રી-બજેટ મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે. ગ્રેટર રાજકોટ ચેમ્બરના માનદ સહમંત્રી જગદીશભાઈ સોની અને નિયામક અશોકભાઈ સુરેલિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બરે ડાયરેક્ટ ટેક્સ, TDS-TCS જોગવાઈઓ, મૂડી લાભ માળખું અને વિભાગીય વિલંબ જેવી સમસ્યાઓના નિવારણ માટે સરકારનું ધ્યાન દોર્યું છે. RFCTLARR કાયદા હેઠળ જમીન સંપાદન બદલ મળતા વળતર પર આવકવેરા મુક્તિ અંગે આવકવેરા અધિનિયમમાં સ્પષ્ટ જોગવાઈ કરવાની માંગ કરાઇ છે. ફેસલેસ કરેક્શન અને ફરિયાદ નિવારણ પ્રક્રિયાને સમયબદ્ધ અને સંકલિત બનાવવાની ભલામણ સાથે ત્રણ મહિનામાં ઓનલાઈન સુધારણા અરજીઓનો નિકાલ થવો જોઈએ તેવી રજૂઆત કરાઇ છે. અપીલમાં આદેશ મળ્યા બાદ પણ રાહત માટે વારંવાર અરજી કરવાની ફરજ પડે છે તેથી અપીલીય આદેશ અપલોડ થયા બાદ 60 દિવસમાં તેની અસર આપમેળે અમલમાં મુકવાની માંગ ઉઠાવી છે. વિભાગીય વિલંબના કારણે રિફંડ અથવા અપીલની અસર મોડી થતી હોય ત્યારે કરદાતાઓને વ્યાજ વળતર મળવું જોઈએ તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. મૂડી લાભ માળખાને સરળ બનાવી વિવાદોમાં ઘટાડો કરવા માટે એકસરખો હોલ્ડિંગ પીરિયડ અને મુક્તિ કલમોનું સંકલન કરવાની માંગ કરાઇ છે. સાથે જ TDS-TCS જોગવાઈઓને સરળ બનાવી, ભાગીદારોને ચૂકવાતા વ્યાજ અને મહેનતાણાં પર TDS દૂર કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:15 am

ભવ્ય આયોજન:વિશ્વકર્મા ધામ ખાતે 31મીએ 12 દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન યોજાશે

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આ વર્ષે શ્રી વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે 9 દિવસ “શ્રી વિશ્વકર્મા ધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વિશ્વકર્મા દાદાના પાંચેય પુત્રો (મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ) લુહાર, સુતાર, કંસારા, કડિયા પ્રજાપતિ, સોમપુરા, સોની વગેરે સમાજના લોકોને સાથે રાખીને ભવ્ય આયોજન કરાયું છે. શ્રી વિશ્વકર્મા જયંતીના દિવસે ભવ્ય શોભાયાત્રા સવારે 8:30 વાગ્યે શ્રી વિશ્વકર્મા ધામ, શાસ્ત્રી મેદાનથી પૂજાવિધિ સાથે પ્રસ્થાન થશે. જે સમગ્ર શહેરમાં નગરચર્યા કરી દિવાનપરા પ્રભુજીના મંદિર ખાતે બપોરે 12 વાગ્યે પહોંચશે. જયાં બપોરે 12:15 વાગ્યે રાજભોગ આરતી થશે અને જવેરા તેમજ દાદાની શાભાયાત્રા પૂર્ણ થશે. શોભાયાત્રામાં આગળ 10 બુલેટ, દાદાનો રથ, પાંચેય પુત્રનો રથ, 250 બાઇક, 100થી વધુ ગાડીઓ ટ્રેક્ટર, શણગારેલા રથ, જવેરાનો રથ અને વિશાળ સંખ્યામાં ભાઇઓ તથા બહેનો જોડાશે. શોભાયાત્રામાં દરેક જ્ઞાતિના ફ્લોટ્સ નિકળશે જેમાં શ્રેષ્ઠ રથને 1થી 3 નંબર અપાશે. 31મીએ વિશ્વકર્મા ધામમાં 12 દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન બપોરે 2 વાગ્યાથી યોજાશે. જેમાં મહંત અર્જુનદાસ બાપુ તથા શાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદી આશીર્વચન પાઠવશે. 25000 ભક્તોનું જ્ઞાતિભોજનછેલ્લા 10 વર્ષથી સતત આ આયોજન કરવામાં આવે છે. આ વર્ષ પહેલીવાર શાસ્ત્રીમેદાન ખાતે આયોજન કરાયું છે. અહીં દરેક સમાજને આમંત્રણ આપી રોજ સાંજે 8 વાગ્યે આરતી, દરરોજ સાંજે 9થી 10:30 સાંસ્કૃતિક કાર્યક્રમ, રોજ સવારે મંત્રજાપનો આહુતિ યજ્ઞ કરાશે. 31મીએ વિશ્વકર્મા જયંતિ પર જ્ઞાતિસમૂહ ભોજનમાં 25000થી વધુ ભક્તો પ્રસાદ લે તેવું આયોજન કરાયું છે તથા શાસ્ત્રી મેદાનમાં બપોરે 2થી 9 વાગ્યા સુધી અને દિવાનપરામાં પ્રભુજીના મંદિરે સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. પહેલા દિવસે ભગવાન વિશ્વકર્મા તથા તેમના પાંચ પુત્રોની આરતી કરાઇ.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:15 am

મનપાને મોટી રાહત:લીગસી વેસ્ટ મામલે મનપાને મોટી રાહત, NGTની રૂપિયા 22.50 કરોડની પેનલ્ટી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 18 વોર્ડમાંથી ટીપરવાન મારફત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહિત એકત્રિત થતો કચરો નાકરાવાડી ખાતે ઠલવવામાં આવી રહ્યો છે. આ સ્થળે સંગ્રહિત લીગસી વેસ્ટના કારણે પર્યાવરણ અને જનઆરોગ્યને નુકસાન થતું હોવાની દલીલ સાથે રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માં અરજી દાખલ કરી હતી. આ અરજીને પગલે એનજીટીએ રાજકોટ મહાનગરપાલિકાને રૂ.22.50 કરોડની પેનલ્ટી ફટકારી આ રકમ તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)માં ભરવા આદેશ કર્યો હતો. જોકે આ આદેશ સામે રાજકોટ મહાનગરપાલિકાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી નાકરાવાડી ખાતે લીગસી વેસ્ટના નિકાલ માટે હાથ ધરવામાં આવતી કામગીરીના પુરાવા તથા અન્ય આધારો રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, મહાનગરપાલિકાએ સાડા સાત લાખ ટન લીગસી વેસ્ટના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે 15મા નાણાપંચ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રાન્ટ મેળવી રૂ.35 કરોડનું ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરી દીધી હતી. શરૂઆતના તબક્કામાં જ અંદાજે 70 હજાર ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પણ કોર્ટને અવગત કરાવવામાં આવ્યું હતું. આ પુરાવાઓને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ સામે સ્ટે આપતા રાજકોટ મહાનગરપાલિકાને મોટી રાહત મળી છે અને રૂ.22.50 કરોડની પેનલ્ટી પર હાલ બ્રેક લાગી ગઈ છે. મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ લીગસી વેસ્ટના નિકાલની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટનો આદેશ આવે તે પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. સંભવતઃ આગામી પાંચ મહિનામાં તમામ લીગસી વેસ્ટનો સંપૂર્ણ નિકાલ કરવાનો લક્ષ્યાંક છે.’ સુપ્રીમની નોટિસ મળી નથી, મળ્યા બાદ જવાબ રજૂ કરીશ, કંપની સામે મનપાએ કાર્યવાહી કરવી જોઇએએનજીટીમાં દાદ માંગનાર શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા મનાઇહુકમની નકલ કે નોટિસ મને મળી નથી. નોટિસ મળ્યા બાદ હું મારો જવાબ રજૂ કરીશ. એબેલોન કંપનીએ 2018થી 2020 સુધીમાં કામ પૂરું કરવાનું હતું તેના બદલે તેમણે કામ કર્યું જ નથી. છતાં મનપાએ એજન્સી સામે કોઇ પગલાં લીધા નથી. આથી મનપાએ તેમની સામે પગલાં લેવા જોઇએ અને જે દંડ મહાનગરપાલિકાને થયો છે તે કંપની પાસેથી વસૂલવો જોઇએ. આ કંપનીએ ઇરડામાંથી લોન લીધી હતી ત્યાં પણ તેમનું ખાતુ એનપીએ થયું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:07 am

પ્રજાસત્તાક પર્વને પગલે એરપોર્ટમાં 31મી સુધી એલર્ટ:એરપોર્ટ પર મુસાફરોએ 3 કલાક વહેલા પહોંચવું પડશે, સામાન બે વખત ચેક થશે

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. રાજકોટના હિરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત ગુજરાતના તમામ એરપોર્ટ પર આગામી 31મી જાન્યુઆરી સુધી સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે. સામાન્ય દિવસોમાં મુસાફરો ફ્લાઈટના દોઢ-બે કલાક પહેલા એરપોર્ટ પહોંચતા હોય છે, પરંતુ હવે સુરક્ષા તપાસ વધુ કડક બનાવવામાં આવી હોવાથી મુસાફરોને એરપોર્ટ પર સામાન્ય કરતા વધુ સમય લાગી શકે છે. એરલાઈન્સ કંપનીઓએ અપીલ કરી છે કે, મુસાફરોએ પોતાની ફ્લાઈટના નિર્ધારિત સમયથી ઓછામાં ઓછા 3 કલાક વહેલા એરપોર્ટ પહોંચી જવું. સામાનની તપાસમાં વિલંબને કારણે ફ્લાઈટ મિસ ન થઈ જાય તે માટે આ સાવચેતી રાખવી જરૂરી છે. સુરક્ષા વ્યવસ્થા હેઠળ મુસાફરોના સામાનની એકને બદલે બે વખત સઘન ચકાસણી કરાશે.એરપોર્ટના એન્ટ્રી પોઈન્ટથી લઈને બોર્ડિંગ સુધીના પ્રોટોકોલમાં વધારો કરાયો છે. ખાસ કરીને શંકાસ્પદ વસ્તુઓ કે પ્રતિબંધિત સામાન અંગે કડક વલણ અપનાવવામાં આવશે. પાર્કિંગ એરિયાથી લઈને ટર્મિનલ બિલ્ડિંગ સુધી દરેક ગતિવિધિ પર સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. મુસાફરોએ આટલી બાબત ધ્યાનમાં રાખવી પડશે

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:04 am

સિટી એન્કર:સરહદે અટકેલો સંબંધ, પત્ની પાકિસ્તાનમાં, પતિ-બાળકો રાજકોટમાં

રાજકોટમાં બે સંતાનો સાથે રહેતો મુસ્લિમ યુવક ત્રણ વર્ષથી તેની પત્નીની રાહ જોઇ રહ્યો છે, કરાંચીમાં ત્રણ વર્ષથી્ ફસાયેલી પરિણીતાને વિઝા નહીં મળતાં તે તેના પતિ અને બાળકો સાથે રહી શકતી નથી, અનેક પ્રક્રિયા બાદ પતિ-પત્ની થાક્યા હતા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાનને અપીલ કરી હતી અને કરાંચીમા ફસાયેલી મહિલાને વિઝા આપવા આજીજી કરી હતી. રાજકોટના રૈયારોડ પર બાપા સીતારામ ચોક નજીકના આવાસ ક્વાટર્સમાં રહેતા પરવેજ શેખ નામના યુવકે કહ્યું હતું કે, વર્ષ 2015માં રાજકોટમાં તેના લગ્ન પાકિસ્તાનના કરાંચીની રેહાના સાથે થયા હતા, વર્ષ-2022માં વિઝા પૂરા થતાં રેહાના પાકિસ્તાન ગઇ હતી. પતિ અને બે બાળકો પણ તેની સાથે કરાંચી ગયા હતા, અઢી મહિના સુધી પરવેજ અને તેના બંને બાળકો ત્યાં રોકાયા પરંતુ તેમના પણ વિઝા પૂરા થતાં રાજકોટ પરત આવી ગયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગ સ્થિતિને કારણે રેહાના ફસાઇ હતી અને ઓપરેશન સિંદૂર બાદ વિઝા મુદ્દે વધુ કડકાઇ થતાં રાજકોટની પરિણીતાનું રાજકોટ આવવું મુશ્કેલ બન્યું હતું. પરવેજે કહ્યું હતું કે, પોતે ત્રણ વર્ષમાં અનેક વખત પાસપોર્ટ કચેરી, કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરીના ધક્કા ખાઇ ચૂક્યો છે, દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસી પણ પહોંચ્યો હતો પરંતુ પત્નીને પરત લાવવામાં સફળતા મળી નહોતી. અંતે પરવેજે શુક્રવારે વીડિયો બનાવી તેની પત્નીને વિઝા મળે તેવી અપીલ કરી હતી, કરાંચીથી રેહાનાએ પણ વીડિયો મારફત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી તે તેના પરિવારને મળી શકે, તેનું અને તેના પરિવારનું જીવન કઠિન બન્યું છે ફરીથી તે ધબકતું થાય તે માટે વિઝા આપવા અપીલ કરી હતી. પરવેજ શેખની આજીજી, ‘માતા પથારીવશ છે, ત્રણ વર્ષથી બહેન બંને બાળકોનું ધ્યાન રાખે છે’પરવેજ શેખે કહ્યું હતું કે, તેની પુત્રી આઠ વર્ષની અને પુત્ર પાંચ વર્ષનો છે, માતાને પેરેલિસિસ થયું હોવાથી તે પથારીવશ છે તેની બહેન બંને બાળકોનું ધ્યાન રાખે છે, પુત્રીને સવારે સ્કૂલે જવાનું હોય ત્યારે બહેન વહેલી ઉઠીને બાળકીને નવડાવીને તૈયાર કરે છે, બંને માસૂમ બાળકો ત્રણ વર્ષથી માતાનો વિયોગ સહન કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:02 am

વિરારમાં 10 માસમાં વાહનચાલકો પાસેથી 9.40 કરોડનો દંડ વસૂલાયો

આરટીઓ દ્વારા ૧૯ હજારથી વધુ વાહનો સામે કાર્યવાહી આરટીઓ દ્વારા ૧૯ હજારથી વધુ વાહનો સામે કાર્યવાહી મુંબઈ - વિરાર આરટીઓએ એક જાન્યુઆરીથી ત્રીસ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ૪૨,૨૫૦ વાહનોની તપાસ કરીને નિયમભંગ કરનારાં ૧૯,૧૮૨ વાહનો સામે કેસ દાખલ કરીને ૯.૪૦ કરોડનો દંડ વસૂલ્યો છે. પાલઘર અને વસઈ-વિરાર વિસ્તારોમાંથી મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પસાર થાય છે.

ગુજરાત સમાચાર 24 Jan 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભોજશાળામાં પૂજા અને નમાજ સાથે-સાથે, ધરણાં કરતા શંકરાચાર્યની તબિયત લથડી; 24 કલાકમાં 3 પોલીસકર્મીની આત્મહત્યા

નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર મધ્યપ્રદેશના ભોજશાળામાં એક સાથે પૂજા અને નમાજ વિશે હતા. બીજા મોટા સમાચાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની બગડતી તબિયત હતી, જેઓ પાંચ દિવસથી ધરણાં પર બેઠા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર ગૃહમંત્રી અમિત શાહ લખનઉમાં ઉત્તર પ્રદેશ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કાલના મોટા સમાચારો 1. MPની ભોજશાળામાં પૂજા અને નમાઝ સાથે-સાથે:વાગ્દેવીનો હવન ચાલતો રહ્યો, વોલેન્ટિયર જેકેટમાં કરી ખુદાની ઈબાદત; 8 હજાર જવાનોએ સંભાળી સુરક્ષા મધ્ય પ્રદેશમાં ધારની ભોજશાળામાં વસંત પંચમી પર મા વાગ્દેવીની પૂજા અને જુમાની નમાઝ સાથે-સાથે કરાવવામાં આવી. શુક્રવારે સવારે 6 વાગ્યે સૂર્યોદયની સાથે જ હિન્દુ સમાજે સરસ્વતી પૂજન શરૂ કરી દીધું, જે સૂર્યાસ્ત સુધી ચાલ્યું. બીજી તરફ, બપોરે 1 થી 3 વાગ્યા સુધી ભોજશાળા પરિસરમાં જ મુસ્લિમ સમાજે નમાઝ અદા કરી. આ પ્રસંગે કોઈ પણ અપ્રિય સ્થિતિથી બચવા માટે જિલ્લા વહીવટી તંત્રએ પૂરી તત્પરતા દાખવી. ભોજશાળા પરિસરને 6 સેક્ટર જ્યારે શહેરને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ, CRPF અને રેપિડ એક્શન ફોર્સના 8 હજારથી વધુ જવાનો શહેરભરમાં તહેનાત રહ્યા. ડ્રોન અને AIની મદદથી ખૂણે-ખૂણે નજર રાખવામાં આવી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. અવિમુક્તેશ્વરાનંદની તબિયત લથડી:ભારે તાવ, 5 દિવસથી ધરણાં પર બેઠા; 5 કલાક સુધી વાનમાં સૂતા રહ્યા જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યને એક સમજદાર નેતા ગણાવ્યા. તેમણે કહ્યું, નાયબ મુખ્યમંત્રી જ્ઞાની છે અને સમજે છે કે આપણા અધિકારીઓએ ભૂલ કરી છે. તેઓ સમજે છે કે આ બાબતને આ રીતે આગળ વધારવી જોઈએ નહીં. આનાથી આપણને નુકસાન થઈ રહ્યું છે. આવા જ્ઞાની વ્યક્તિ મુખ્યમંત્રી હોવા જોઈએ. જે વ્યક્તિ ઘમંડી અને હઠીલા છે તે મુખ્યમંત્રી ન હોવો જોઈએ. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યએ ગુરુવારે કહ્યું હતું કે, હું પૂજ્ય શંકરાચાર્યજીના ચરણોમાં નમન કરું છું અને તેમને સ્નાન કરવા વિનંતી કરું છું. જો કોઈ પૂજ્ય સંત કે શંકરાચાર્યજીનું અપમાન થયું હોય, તો અમે તપાસ કરીશું અને કાર્યવાહી કરીશું. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાંચ દિવસથી પ્રયાગરાજ માઘ મેળામાં તેમના શિબિરની બહાર ધરણા પર બેઠા છે. શુક્રવારે સવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમને ખૂબ તાવ આવ્યો. સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી, તેઓ દવા લેતા તેમની વેનિટી વાનમાં આરામ કરતા હતા. જ્યારે ભીડ એકઠી થઈ ગઈ, ત્યારે તેઓ બહાર આવ્યા અને તેમની પાલખીમાં બેસી ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. મનાલી-શિમલા બન્યું 'મિની સ્વિટ્ઝર્લેન્ડ', PHOTOS:ભારે બરફવર્ષાથી પહાડો રૂ જેવી સફેદ ચાદરથી ઢંકાયા, ટૂરિસ્ટો મસ્તી કરતા જોવા મળ્યા; અનેક ઘરની છત ઊડી હિમાચલ પ્રદેશના ઊંચા પહાડો પર મોડીરાતથી બરફવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. શિમલા અને મનાલી સહિત રાજ્યના ઘણા ભાગોમાં આ શિયાળાની ઋતુનો પહેલી હિમવર્ષા થઈ. શિમલામાં બરફ જોઈને કેટલાક પ્રવાસીઓ સવારથી જ રસ્તાઓ પર આવી ગયા અને બરફથી રમવા લાગ્યા. બીજી તરફ, શિમલામાં મોડીરાતથી જ બરફનું તોફાન ચાલી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પછી સાડા 3 મહિનાનો સૂકો ગાળો તૂટ્યો છે. ચંબાના ભરમૌરમાં તો બર્ફીલા તોફાનથી 10થી વધુ ઘરોની છત પણ ઊડી ગઈ, જ્યારે કુલુના જલોડી જોતમાં ભારે બરફવર્ષાને કારણે પાંચ પ્રવાસી ફસાઈ ગયા છે. તેમણે વીડિયો જાહેર કરીને મદદની વિનંતી કરી છે. વીડિયોમાં પ્રવાસીઓ કહી રહ્યા છે કે બર્ફીલા તોફાનને કારણે તેમના તંબુમાં બરફ આવી રહ્યો છે. જલદી અમારું રેસ્ક્યૂ કરવામાં આવે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. સોનાનો ભાવ ₹1.55 લાખ પહોંચ્યો:ચાંદી 23 દિવસમાં ₹21,000 મોંઘી થઈ, આજે ₹11,994 ભાવ વધીને 3.12 લાખ/પ્રતિ કિલો થઈ આજે, 23 જાન્યુઆરીએ સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સવારે સોનું 1,55,428 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. જોકે, ત્યારબાદ તેનો ભાવ થોડો ઘટ્યો અને તે 3,182 રૂપિયા વધીને 1,54,310 રૂપિયા પર બંધ થયો. અગાઉ, તે 1,51,128 રૂપિયા હતું. તે જ સમયે 1 કિલો ચાંદી 11,994 રૂપિયા વધીને 3,11,705 રૂપિયા પર પહોંચી ગઈ. અગાઉ, ગુરુવારે તે 2,99,711 રૂપિયા હતી. આ વર્ષે માત્ર 23 દિવસમાં, સોનું 21,115 રૂપિયા અને ચાંદી 81,285 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. PM મોદીએ કહ્યું- તમિલનાડુમાં DMK સરકારનું કાઉન્ટડાઉન શરૂ:અહીંની સરકાર બસ એક પરિવારની જી-હજૂરીમાં લાગેલી છે; એમના વાયદા ઘણા, કામ ઝીરો PM મોદીએ શુક્રવારે તમિલનાડુના ચેંગલપટ્ટુમાં કહ્યું કે રાજ્યના લોકો DMKના કુશાસનમાંથી મુક્તિ ઈચ્છે છે. આપણે તમિલનાડુને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવું છે. DMK સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આજે તમિલનાડુની સરકારને લોકશાહી કે જવાબદારી સાથે કોઈ લેવાદેવા નથી. DMK સરકાર બસ એક પરિવારની જી-હજૂરીમાં લાગેલી છે. એમની પાર્ટીમાં જે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરે છે તે આગળ વધે છે. તમિલનાડુનો એક-એક બાળક જાણે છે કે ક્યાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ કમાણી કોના ખિસ્સામાં જઈ રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર:84 દિવસ બાદ જેલમુક્ત થશે, ગોંડલ સેશન્સ કોર્ટે આપ્યાં શરતી જામીન ગોંડલના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાના જામીન ગોંડલ કોર્ટે મંજૂર કર્યા છે. આ નિર્ણય બાદ રાજદીપસિંહ 84 દિવસના જેલવાસ બાદ મુક્ત થશે. રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા ઘણા સમયથી જેલમાં હતા. ગુનો નોંધાયા બાદ તેઓ લગભગ છ મહિના સુધી ફરાર રહ્યો હતો. તેણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ રાહત ન મળતા આખરે 10 નવેમ્બર, 2025ના રોજ તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 7. રાજ્યમાં 24 કલાકમાં 3 પોલીસકર્મીની આત્મહત્યા:ભરૂચ, ભાવનગર બાદ ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે જિંદગી ટૂંકાવી, બાળકોને સ્કૂલે મૂકી આવીને ગળાફાંસો ખાધો રાજ્યમાં 24 કલાકમાં જ ત્રણ પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી લીધી છે. 22 જાન્યુઆરીના રોજ ભાવનગર અને ભરૂચમાં અને હવે ગાંધીનગરમાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. એને પગલે સમગ્ર પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના પેથાપુર નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ઉજ્જૈનના તારાણામાં બસ-દુકાન સળગાવી, મંદિર પર પથ્થરમારો:CCTVમાં યુવકો પથ્થરમારો કરતા કેદ; 13 બસોમાં તોડફોડ, 15ની ધરપકડ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ શું કોઈ બીમારીથી પીડાય છે ટ્રમ્પ?:હાથમાં દેખાયાં વાદળી નિશાન, પત્રકારોએ સવાલ પૂછ્યો તો કહ્યું, મારો હાથ ટેબલ સાથે અથડાયો હતો... (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જૈશનો આતંકી ઠાર:બિલાવર વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ; કિશ્તવાડ હુમલામાં જવાન શહીદ થયો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ અમેરિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન છોડ્યું:WHOના ₹2 હજાર 380 કરોડ બાકી; અમેરિકાએ કહ્યું- ચુકવીશું નહીં, જરૂરિયાત કરતાં વધુ આપી ચૂક્યા છીએ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ અચાનક કેમ તૂટ્યું શેરબજાર?:રોકાણકારોના 21 લાખ કરોડ સ્વાહા!, છેલ્લા અઠવાડિયામાં ચોથી વખત મોટો ઘટાડો; અદાણીના શેર તૂટ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. એન્ટરટેઇમેન્ટઃ પલાશ મુછાલે ફરી સ્મૃતિ મંધાનાનું દિલ તોડ્યું!:કિક્રેટરના બાળપણના મિત્રનો ₹40 લાખનો રોલ માર્યો, ફિલ્મ બનાવવાના નામે છેતરપિંડી કર્યાનો આરોપ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ રાજકોટમાં બીજા જ દિવસે પંજાબ સામે સૌરાષ્ટ્ર જીત્યું:કેપ્ટન ગિલ ફ્લોપ સાબિત થયો, જાડેજાએ મેચમાં 53 રન સાથે 2 વિકેટ લીધી; પાર્થ ભૂતે મેચમાં 10 વિકેટ ઝડપી (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ છત્તીસગઢમાં 40 વર્ષ જૂનો લોખંડનો પુલ રાતોરાત ચોરાઈ ગયો છત્તીસગઢના કોરબામાં એક 40 વર્ષ જૂનો પુલ રાતોરાત ચોરાઈ ગયો. ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કર્યો અને 80 ફૂટ લોખંડની રેલિંગ કાપી નાખી. આ ઘટના 17 જાન્યુઆરીના રોજ બની હતી. ચોરીમાં લગભગ 15 લોકો સંડોવાયેલા હતા, જેમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: બાળકો, મોબાઇલ અને માનસિક કેન્સર:વાલીઓ માટે ચેતવા જેવા ચાર શૉકિંગ કિસ્સા, ઓસ્ટ્રેલિયા પછી બ્રિટન પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધની તૈયારીમાં 2. 'મોદીજી, મને પાકિસ્તાનથી ભારત બોલાવી લો':રાજકોટમાં લગ્ન બાદ કરાચીમાં ફસાઈ, રડતાં-રડતાં કહ્યું, મને બાળકોથી અલગ ન કરો, પતિએ ભાસ્કરને જણાવી આપવીતી 3. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પના હાથમાં વાદળી નિશાન શેનું?, ગ્રીનલેન્ડનું નામ ભૂલ્યા ને ગરબાની કરી નાખી વાત; શું કોઈ બીમારીથી પીડાય છે જગત જમાદાર? 4. ‘હત્યા થઈ એ દિવસે મારી પત્ની સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી’:સાબરમતી જેલના કેદીની કબૂલાત; જેલ SP કહે, ‘અમારા મહેમાન ન બનો એ જ તમારા માટે સારું છે’ 5. સિપ્પી પરિવારના દીકરાની લાશ મળી, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ:'શોલે' ફૅમ ડિરેક્ટરે ત્રણ સંતાનો હોવા છતાં 17 વર્ષ નાની એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા 6. 'છોકરી પસંદ કરો, ફસાવવાનું કામ અમારું':કોન્ટ્રેક્ટ લઈને હનીટ્રેપ અને સેક્સટોર્શન કરનારનો પર્દાફાશ, સગીરો સાથે વીડિયો બનાવતા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ રાશિના જાતકોના સપના થશે સાકાર, કુંભ રાશિના લોકોને વેપારમાં મળશે મોટી સફળતા; જાણો તમામ 12 રાશિઓનું ભાગ્ય! (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:00 am

નોકરીની સુવર્ણ તક:NITમાં ઓફિસરની ભરતી થશે, પગાર રૂ. 2 લાખ સુધીનો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) રાઉરકેલા દ્વારા નોન-ટીચિંગ સ્ટાફ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લાઇબ્રેરિયન, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સાયન્ટિફિક ઓફિસર જેવી કુલ 09 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો ઉચ્ચ વય મર્યાદા ધરાવે છે તેમના માટે આ સુવર્ણ તક છે, કારણ કે લાઇબ્રેરિયન પદ માટે વય મર્યાદા 56 વર્ષ સુધી રાખવામાં આવી છે. પદ મુજબ લાયકાતમાં માસ્ટર્સ ડિગ્રી, BE/B.Tech અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવ જરૂરી છે. પસંદગી પામનાર ઉમેદવારોને પે-લેવલ મુજબ માસિક રૂ. 56,100 થી રૂ. 2,18,200 સુધીનો આકર્ષક પગાર મળશે. રસ ધરાવતા ઉમેદવારો 19 ફેબ્રુઆરી 2026 સુધી સત્તાવાર વેબસાઇટ www.nitrkl.ac.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. આયુષમાં ફ્રેશર પાસેથી અરજી મંગાવા આવીઆયુષ મંત્રાલય દ્વારા યંગ પ્રોફેશનલના 6 પદો માટે લાયક ઉમેદવારો પાસે અરજી મંગાવાઈ છે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 40,000 ફિક્સ પગાર અપાસે. વય મર્યાદા 1 જુલાઈ, 2026ના રોજ ઉમેદવારની ઉંમર 32 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ભરતી માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી B.Tech, MBA કે સમકક્ષ ટેકનિકલ ડિગ્રી. માસ્ટર્સ, M.Phil, PhD કે અનુભવી ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. હિન્દી અને અંગ્રેજી લેખન કૌશલ્ય સાથે કોમ્પ્યુટર ટેકનોલોજીનું જ્ઞાન હોવું જરૂરી છે. આ નિમણૂક એક વર્ષ માટે છે તેમજ કામગીરી આધારને ધ્યાને રાખીને સમયગાળો લંબાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:44 am

સિક્યુરિટી એજન્સીના ટેન્ડરમાં કૌભાંડ:VNSGUના સિક્યુરિટી ટેન્ડરમાં મોટો ખેલ, માનીતાને કામ સોંપવા શરતોના છેદ ઉડાવાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સીના ટેન્ડરમાં મોટું કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી યુનિવર્સિટીની સુરક્ષા માટે અત્યંત કડક અને ફરજીયાત શરતો રાખવામાં આવતી હતી, પરંતુ આ વખતે નજીકના અને ઓળખીતાઓને લાભ પહોંચાડવાના હેતુથી મહત્વની તમામ શરતોને જાણબૂઝીને કાઢી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ટેન્ડરની કિંમતમાં વધારો કરાયો હોવા છતાં સુરક્ષામાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. યુનિવર્સિટીમાં નિયમ મુજબ 76 ગાર્ડ, 3 સુપરવાઇઝર અને 3 ગનમેન હોવા જોઈએ. સુપરવાઇઝર એક્સ-સર્વિસમેન અને ગ્રેજ્યુએટ હોવાની સ્પષ્ટ શરત છે. પરંતુ નવી એજન્સી પાસે 50% સ્ટાફ પણ નથી. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ગર્લ્સ હોસ્ટેલ બહાર છેલ્લા 4 દિવસથી એકપણ ગાર્ડ તહેનાત નથી. જો કોઈ અઘટિત ઘટના ઘટે તો તેની જવાબદારી કુલપતિ, રજીસ્ટ્રાર કે ટેન્ડર કમિટીમાંથી કોણ લેશે? તેવો પ્રશ્ન ઉઠ્યો છે. સુરત NSUI અને યુથ કોંગ્રેસે કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેઓએ આક્ષેપ કર્યો છે કે નિયમ અનુસાર દરેક ગાર્ડ પાસે PSARA સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ, પોલીસ વેરિફિકેશન, LC, આધારકાર્ડ અને બેંક વિગતો ફરજીયાત હોવી જોઈએ. આ દસ્તાવેજો વિના કોઈ પણ ગાર્ડને ફરજ પર મુકવાનો કાયદેસર અધિકાર નથી, તેમ છતાં આ શરતોનું પાલન કર્યા વિના જ આશ્ચર્યજનક રીતે ટેન્ડર ફાળવી દેવાયું છે. પહેલી વખત GeMથી ટેન્ડર બહાર પાડ્યુંઆ સમગ્ર વિવાદ અંગે યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.આર.સી. ગઢવી કહે છે કે અમે નિયમ અનુસાર જ ટેન્ડર પ્રક્રિયા કરી છે અને નિયમમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા નથી. પહેલા યુનિવર્સિટીની વેબસાઇટ પર ટેન્ડર ઇશ્યુ કરતા હતા, પણ હવે સરકારના નિયમને જોતા GeM પોર્ટલથી ટેન્ડર બહાર પાડ્યું છે. ઉપરાંત નવી એજન્સીની નવી લેટેસ્ટ ફેસેલિટીનો લાભ યુનિવર્સિટીને મળે તે પણ જરૂરી છે. અમે જૂની અને નવી ટેન્ડરની શરત જેવી બાબતોની ફાઇલ દેખાડવા પણ તૈયાર છીએ. આ છ મહત્વની શરતો હટાવી દેવામાં આવી

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:43 am

નશાની હાલતમાં ગંભીર અકસ્માત:મોટાવરાછામાં નશામાં ધૂત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે કારથી બે બાઈકચાલકોને ઉડાવ્યા

શહેરના મોટાવરાછામાં દુખીયા દરબાર પાસે ગુરુવારે મોડીરાતે દારૂના નશામાં કાર ચલાવી રહેલા ઈન્ફ્લુએન્સર હિરેન બુહાએ બે બાઈકચાલકોને ઉડાવી દીધા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કારચાલકને બહાર કાઢ્યો હતો. ચાલક નશામાં હોવાનું જણાતા લોકોએ ઈન્ફ્લુએન્સરને બરાબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. બીજીતરફ બન્ને બાઇકચાલકોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને બાઇકને નુકસાન થયું હતું. બન્ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે બાદમાં બન્ને બાઇકચાલકોએ ફરિયાદ કરવાને બદલે સમાધાન કરી લીધું હતું. આથી ઉત્રાણ પોલીસે જાતે ફરિયાદી બની ઈન્ફ્લુએન્સર હિરેન હકા બુહા (28) (મૂળ રહે,ગોપાલગામ, જુનાગઢ)ની સામે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે તેની કાર અને દારૂ સહિત 10 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જાહેરાતની રીલ બનાવવા સુરત આવ્યો હતોજુનાગઢનો ઈન્ફ્લુએન્સર હિરેન બુહા દર મહિને બે વખત રીલ બનાવવા માટે સુરત આવતો હતો. 22મી તારીખે તે મોટા વરાછામાં એક જાહેરાતનો વીડિયો બનાવવા આવ્યો હતો. આ પહેલાં તે સવારે મિત્ર સાથે કારમાં દમણ ગયો હતો. જ્યાં તેણે રીલ બનાવ્યું હતું. દમણથી સાંજે સુરત પરત ફર્યા બાદ હિરેન બુહાએ મોટા વરાછામાં રીલ બનાવી હતી. દારૂ પીધેલી મસ્તીનો વીડિયો બન્યો ચર્ચાનો વિષયઈન્સ્ટાગ્રામ પર 7 લાખ ફોલોઅર્સ ધરાવતા હિરેન બુહાએ સોશિયલ મીડિયામાં મિત્ર સાથે દારૂ પીધેલો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો જોઈ તેના એક મિત્રએ પૂછ્યું કે, “કેમ ભાઈ, લાંબો પડી ગયો છે ?” ત્યારે ઈન્ફ્લુએન્સરે જવાબ આપ્યો કે, “હવે પૂરું થઈ ગયું ભાઈ.” અન્ય વીડિયોમાં મિત્રએ ઈન્ફ્લુએન્સરને કહ્યું હતું કે, “એ મોટા, એક વાત કરું ?” જેથી ઈન્ફ્લુએન્સરે “કે. કે” પછી મિત્રએ કહ્યું કે “પી ગયા પછી મોરે મોરો જાય” એના જવાબમાં ઈન્ફ્લુએન્સરે કહ્યું કે, “તારી વાત બધી સાચી છે, અત્યારે થોડું પાણી નાખ, કોરે કોરો જાય.”

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:40 am

માતાજીને વિશિષ્ટ શૃંગાર તેમજ 56 ભોગ ધરાવાયા:માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વરાછા ઉમિયાધામમાં નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ

ઉમિયા પ્રાગટ્ય દિવસ નિમિત્તે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વરાછા ઉમિયાધામ મંદિર ખાતે સુરતમાં રહેતા કડવા પાટીદાર સમાજના જુદા જુદા ગ્રુપનો પદયાત્રા સંઘ ઉમિયાધામ પહોંચ્યા હતા. મુખ્ય શોભાયાત્રા લાલ દરવાજાથી પ્રારંભ કરીને વરાછા ઉમિયાધામ પહોંચી હતી. 11 જેટલા પદયાત્રા સંઘ ઉમિયાધામ મંદિર પહોંચ્યા હતા અને માતાજીના પૂજન-અર્ચન બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ જશવંત પટેલ, મંત્રી રાજુ પટેલ સહિત હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.નવચંડી યજ્ઞ અને માતાજીને વિશિષ્ટ શૃંગાર તેમજ 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા.ધવજારોહણ બાદ સામુહિક આરતી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:35 am

વેસુ શ્યામ મંદિરનો પાટોત્સવ યોજાયો:પીળા ફૂલોથી બાબાનો દરબાર શણગારાયો

વીઆઈપી રોડ વેસુ ખાતે શ્રીશ્યામ મંદિર, સુરતનો નવમો પાટોત્સવ વસંત પંચમીના શુભ અવસરે શુક્રવારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે મંદિરના પ્રાંગણને સજાવવામાં આવ્યું હતું અને બાબા શ્યામનો વિવિધ પ્રકારના પીળા ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો હતો તેમજ તેમને પીળા વસ્ત્રો (વાઘા) ધરાવવામાં આવ્યા હતા. પાટોત્સવ નિમિત્તે સવારે સાત વાગ્યાથી મંદિરમાં પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે બાબાને રાજભોગ અને છપ્પન ભોગ અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી. આ અવસરે સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠનું વાચન કરવામાં આવ્યું હતું. વસંત પંચમી પર બાબાના મનોહર શ્રૃંગારના દર્શન માટે ભક્તોની લાંબી કતારો મોડી રાત સુધી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:35 am

મહત્વનો નિર્ણય:કઠોદરામાં 8 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવા નિર્ણય

શહેરમાં સમાવિષ્ટ કઠોદરા વિસ્તારમાં આવેલી એમનીટીઝ સ્પેસની ખાલી જગ્યામાં પાલિકાએ કોમ્યુનિટી હોલ બનાવવાની મંજૂરી આપી છે. અંદાજે ₹8.57 કરોડના ખર્ચે તૈયાર થનારો આ હોલ સ્થાનિક લોકોના સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી ધારણા છે. કઠોદરા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વસ્તીમાં મોટો ઉછાળો આવ્યો છે. મધ્યમ વર્ગીય પરિવારોને ખાનગી વાડીઓ કે હોલના મસમોટા ભાડા ન ચૂકવવા પડે તે હેતુથી પાલિકાએ આ સુવિધા ઉભી કરવાનું નક્કી કર્યું છે. આ હોલમાં પાર્કિંગ, ડાઈનિંગ એરિયા અને આધુનિક ઈલેક્ટ્રિફિકેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. બિલ્ડિંગથી લઈને સીસીટીવી સુધીનું આયોજન પાલિકા દ્વારા તૈયાર કરાયેલા અંદાજ મુજબ, આ પ્રોજેક્ટમાં માત્ર બિલ્ડિંગના બાંધકામ પાછળ જ ₹4.75 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:34 am

લોકોની ફરિયાદોને મુખ્યમંત્રી કાર્યાલયે ગંભીરતાથી લીધી:ગટરમાં પાણીની લાઈન, કચરા કૌભાંડ સહિતના મુદ્દે સરકારે ખુલાસો માંગ્યો

પાલિકાની ઘોર બેદરકારી, લોકોની ફરિયાદોને મુખ્યમંત્રી કાર્યાલયે અત્યંત ગંભીરતાથી લીધું છે. ગટરની કુંડીમાંથી પીવાના પાણીની લાઈન, લીકેજની ફરિયાદો અને રોડમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરકારના આદેશ બાદ ડેપ્યુટી કમિશનરે તમામ ઝોનલ વડાઓ પાસે ખુલાસો માંગ્યો છે. મીડિયાના અહેવાલોથી હવે જ્યારે સીધું ગાંધીનગરથી દબાણ આવ્યું છે ત્યારે બેદરકાર અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાની આ ગેરરીતિઓ ગાંધીનગર સુધી ગાજી ઊઠી ન્યૂઝ છપાય તે દિવસે સાંજ સુધીમાં ખુલાસો કરવો પડશેડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ, જે દિવસે સમાચાર પ્રસિદ્ધ થાય તે જ દિવસે સાંજ સુધીમાં તેનો લેખિત પ્રત્યુત્તર મહાપાલિકાના જનસંપર્ક વિભાગ અને કલેક્ટર કચેરીને મોકલી આપવો પડશે. આ પ્રત્યુત્તરની નકલ મ્યુનિસિપલ કમિશનરના પી.એ. ને પણ મોકલવાની રહેશે, જેથી કામગીરીનું સીધું મોનિટરિંગ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:33 am

બિલ્ડરોની પાલિકાને રજૂઆત:‘માત્ર કન્સ્ટ્રક્શન સાઈટ જ પ્રદૂષણ નથી કરતી, સરકારી પ્રોજેક્ટોને પણ દંડ કરો’

શહેરમાં વધતા પ્રદૂષણને રોકવા માટે પાલિકાએ કન્સ્ટ્રક્શન સાઈટ સામે દંડની કાર્યવાહી તેજ કરી છે. જેથી બિલ્ડરો અકળાયા છે. તેમનું કહેવું છે કે, ‘પાલિકા માત્ર ખાનગી બિલ્ડરોને ટાર્ગેટ કરે છે, સરકારી પ્રોજેક્ટો અને મોટા કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં લેવાતા નથી.’ બિલ્ડર એસોસિયેશનના જણાવ્યા મુજબ, શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ, સરકારી બિલ્ડિંગો અને પાલિકાનાં વિકાસ કામો મોટા પાયે ચાલી રહ્યાં છે. આ સાઈટો પર ઘણી વખત ગ્રીન નેટ, ડસ્ટ કંટ્રોલ અને પાણીના છંટકાવ જેવી નિયમિત વ્યવસ્થા હોતી નથી છતાં પાલિકા તેમને દંડ ફટકારતી નથી. હાલ બિલ્ડરો માટે બાંધકામની પિક સિઝન છે. ચોમાસા પહેલાં બેઝમેન્ટ અને સ્ટ્રક્ચરલ કામ પૂરું કરવું જરૂરી છે. આ સ્થિતિમાં દંડથી પ્રોજેક્ટ ખર્ચ વધે છે અને કામમાં વિલંબ થાય છે. ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગો પણ પ્રદૂષણ ફેલાવે છે છતાં તેમની સામે અસરકારક કાર્યવાહી થતી નથી. નિષ્ણાતોના મતે કન્સ્ટ્રક્શન સેક્ટર માત્ર 3 ટકા પ્રદૂષણ કરે છે છતાં સૌથી વધુ કાર્યવાહી થાય છે. સરકારી કોન્ટ્રાક્ટરો, મેટ્રો પ્રોજેક્ટ અને ઉદ્યોગો સામે પણ સમાન કાર્યવાહી કરે તે જરૂરી છે. બિલ્ડરો સ્થિતિ સમજે તે પહેલાં જ આક્રમક કાર્યવાહીક્રેડાઈ પ્રમુખ જીજ્ઞેશ પટેલે કહ્યું કે, ‘ગાઈડ લાઈન બનાવવામાં સુરત ક્રેડાઈએ મદદ કરી હતી. બિલ્ડરોને સમજણ આપવા સેમિનારોનું પણ આયોજન કર્યું હતું, પરંતુ બિલ્ડરો હજી સમજી શકે તે પહેલાં જ પાલિકાએ બિલ્ડરોને દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે, જે અયોગ્ય છે.’

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:32 am

ભાસ્કર એક્સક્લુસિવ:મેટ્રો ટ્રેનમાં લઘુતમ ભાડું 10 અને મહત્તમ 40 રૂપિયા રાખવા પ્રસ્તાવ, દર 4થી 8 મિનિટે ટ્રેન મળી રહેશે

આ વર્ષના અંત સુધીમાં કે 2027ની શરૂઆતમાં મેટ્રો દોડતી થઈ જશે. GMRCએ લોન્ચિંગની તૈયારી પણ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ મેટ્રોના ભાડા અને ટ્રેનની ફ્રિક્વન્સી પર વિચાર-વિમર્શ શરૂ કર્યો છે. પ્રારંભિક દરખાસ્ત મુજબ લઘુતમ ભાડું ₹10 નક્કી કરાયું છે, જ્યારે મહત્તમ ₹40 જેટલું રહેશે. દર 4થી 8 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. પિક અવર્સ દરમિયાન મુસાફરોનો ટ્રાફિક વધતાં ટ્રેનોની ફ્રિક્વન્સી પણ વધારાશે. કુલ 40.35 કિમીના રૂટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ડ્રીમ સિટીથી કાદરશા નાળ સુધીના 9 ક્મીના કોરિડોર પર સિવિલ વર્ક 93 ટકા થઈ ગયું છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રાયલ રન હાથ ધરશે. આ પહેલાં ભાડાં નક્કી કરવા ચર્ચા ચાલી રહી છે અને એક પ્રસ્તાવ તૈયાર કરાયો છે. મેટ્રો ભાડા સ્લેબ પર અંતિમ નિર્ણય GMRC બોર્ડ અને રાજ્ય સરકારના સ્તરેથી લેવામાં આવશે. મેટ્રોનું CBTC (કોમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ) સિસ્ટમથી સુરક્ષિત અને સરળ સંચાલન કરાશે. ડિજિટલ ટિકિટિંગ માટે QR કોડ અને NFC જેવી ટેકનોલોજીનો પણ વિચાર કરાઈ રહ્યો છે. ફ્રિકવન્સી ટ્રાફિક-ક્ષમતા મુજબ નક્કી કરાશેમુસાફરની સુવિધા માટે મેટ્રો ટ્રેન સવારે 5થી રાત્રે 12 વાગ્યા સુધી ચલાવવાનો પ્રસ્તાવ છે. પિક અવર્સ દરમિયાન ટ્રેનો દર 4થી 8 મિનિટે દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ફ્રિક્વન્સી મુસાફરોના ટ્રાફિક, કાર્યકારી ક્ષમતા અને ખર્ચના આધારે નક્કી કરવામાં આવશે. કામગીરી શરૂ થાય તે પહેલાં અંતિમ સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. પ્રસ્તાવિત ભાડા અમદાવાદ કરતાં ભાડાં વધુ હોવાથી ફેરફાર શક્યઅધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓપરેટિંગ વિભાગની રચના પછી અંતિમ ભાડા સ્લેબ નક્કી કરાશે. ભાડા સ્લેબ શરૂઆતમાં સ્થાપિત કરાયા છે. ઓપરેટિંગ વિભાગની રચના પછી મુસાફરોની સંખ્યા, સંચાલન ખર્ચ, વીજળી અને જાળવણી ખર્ચ અને સરકારી સબસિડી જેવા પરિબળોના આધારે ભાડામાં ફેરફાર કરાશે. દરખાસ્તમાં અમદાવાદ મેટ્રો કરતાં સુરત મેટ્રો માટે વધુ ભાડું સૂચવવામાં આવ્યું છે, જેથી સ્લેબ ઘટાડી શકાય છે. લાંબા અંતરની મુસાફરી કરનારને ફાયદોપ્રસ્તાવિત ભાડા સ્લેબ મુજબ, લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ફાયદો થશે. એકથી ત્રણ સ્ટેશન વચ્ચે મુસાફરી કરવા માટે ₹૧૦નો ખર્ચ થશે, જ્યારે ૨૦ કે તેથી વધુ સ્ટેશનોની મુસાફરી માટે ફક્ત ₹૪૦નો ખર્ચ થશે. ઓટો-રિક્ષા અને ખાનગી વાહનોની તુલનામાં મેટ્રોને વધુ સસ્તું વિકલ્પ બનાવવા માટે અંતરના આધારે આ ભાડું નક્કી કરવામાં આવી રહ્યું છે. જોકે, સુરત મેટ્રોના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ દરખાસ્ત માટે ફક્ત પ્રારંભિક વિચારણા છે. ઓપરેટિંગ વિભાગ રચાયા પછી ભાડા માળખા પર નવો નિર્ણય લેવાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:26 am

પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ:વાંકાનેર-મોરબી હાઇવે પર વાહનચાલકોને સલામતી - સુરક્ષાના પાઠ પોલીસે શીખવ્યા

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટુ-વ્હીલર વાહનચાલકો માટે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી તેમને હેલ્મેટ પહેરવાની સમજ આપવામાં આવી હતી જેમાંથી કેટલાક વાહન ચાલકોને સ્થળ પર જ પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવ્યા હતા, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. સાથે જ ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરલ હોય તેમને અધિકારીઓ દ્વારા ગુલાબના ફુલ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રકારની કાર્યવાહીથી હાઇવે પર અકસ્માતોમાં ઘટાડો લાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા ટ્રાફિક પોલીસની કડક કામગીરી ચાલુ રહેશે તેમ જણાવાયું હતું. આ ડ્રાઈવમાં પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ મોરબી વિભાગ, નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગ, ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ધેલા , પોલીસ ઇન્સ્પેકટર વી.એન. પરમાર બી ડીવી, એસ.કે. ચારેલ મોરબી તાલુકા, એચ.એ. જાડેજા વાંકાનેર સીટી, બી.વી. પટેલ વાંકાનેર તાલુકા તેમજ મોરબી આર.ટી.ઓ અધિકારી તપન બી. મકવાણા વિગેરે અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:13 am

લાભાર્થીઓ લાભથી વંચિત થયા:મોરબીના દલવાડી સર્કલ પાસે બનાવવામાં આવેલા આવાસો લોકાર્પણ થાય તે પહેલાં જ ખખડી ગયા

મોરબીમાં દલવાડી સર્કલ પાસે નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ આશરે નવેક વર્ષ પહેલા બનાવેલા 500 થી વધુ આવાસોની હજુ સુધી લાભાર્થીઓને સોંપણી કરાઈ ન હોવાની ઘણી જ દુઃખદ બાબત છે. એનાથી પણ વધુ આઘાતજનક બાબત એ છે કે, નવેક વર્ષથી પડતર હાલતમાં રહેલા આ આવાસોનું લોકાપર્ણ થાય એ પહેલાં જ ખંડિત થઈ ગયા છે. એટલે એમાં રહેવું જોખમકારક હોય યોગ્ય રીપેરીંગ કરીને લાભાર્થીઓને સોંપવાની આજે આવી રહેલા મુખ્યમંત્રી સમક્ષ આપના આગેવાન દ્વારા લાભાર્થીઓને સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે મોરબીના શ્રમજીવી પરિવારો અને આર્થિક રીતે નબળા પરિવારોને 2 રૂમ, રસોડું અને જાજરૂ વાળા મકાનો પૂરા પાડવાના આશ્રય સાથે સરકારી યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે મકાનો બનાવવામાં આવ્યા હતા અને જો કે, હજુ સુધી કામ સો ટકા પૂર્ણ કરવામાં આવ્યું નથી અને લાભાર્થીઓને મકાનનો કબ્જો આપવામાં આવ્યો નથી. છેલ્લા 9 વર્ષથી આ મકાન પડતર હાલતમાં છે અને સરકારી ગ્રાન્ટ રૂપે પ્રજાના રુપિયાનું પાણી કરવામાં આવ્યું છે આટલું જ નહીં આ ફ્લેટના લાભાર્થીઓ પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાનું ઉઘરાણું કરી નાખેલ હોય છતાં પણ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ નથી. આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અત્યાર સુધી મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ તેમજ તંત્ર લાભાર્થીઓને કવાર્ટરની સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. હજુ 6 માસ બાદ લાભાર્થીઓને આવાસો સોંપાશે આપના નેતાની રજુઆત સામે મનપાના આવાસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના કામધેનુ બાયપાસ પાસે દલવાડી સર્કલ નજીક સરકારી જગ્યામાં ઘર વિહોણા લોકો માટે 608 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસનો ડ્રો 22,3,2021માં કરવામાં આવ્યો હતો અને આ આવાસોના લાભાર્થીઓની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. તેથી 608 અધૂરા રહેલા આવાસોનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એટલે આ અધૂરા કામ પૂરા કરવામાં હજુ 6 માસનો સમય લાગશે. પછી જ લાભાર્થીઓને એ મકાનો સોંપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:11 am

આપઘાતનો મામલો આવ્યો સામે:મોરબીના ઘૂટુંમાં યુવાને ફાંસો લગાવી આપઘાત કરી લીધો

મોરબીના ઘૂટું ગામ નજીક આવેલી ફેકટરીના લેબર કવાર્ટરમાં રહેતા એક યુવાને ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગતમ મુજબ મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા ઘૂટું રોડ પર આવેલા ઓરીન્ડા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના શીખરધાટી ગામના યુવાન ધાંગા જીગલા મારંડી નામના યુવાને કોઈ કારણસર લેબર કોલોનીમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકોએ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવમાં યુવકને તબીબે મૃત જાહેર કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો બનાવ અગ્ને તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી કાયદેરસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:10 am

જુગારીઓ રંગે હાથ ઝડપાયા:મોરબીમાં જામ્યો વરલી મટકાનો ખેલ, LCBએ 5 શખ્સને દબોચ્યા

મોરબી ના ઇન્દિરા નગર નજીક ખારોપાટ વિસ્તારની નજીક આવેલા કારખાનાના પાછળના ભાગમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા જગદીશ જોશી, પ્રકાશ વરાણીયા, સુનિલ ધીરુભાઈ સુરેલા મનીષ રાજુભાઈ સુરેલા સંજય અવચર ભાઈ ઝંઝવાડીયા અને મનોજગર ગોસાઈને ઝડપી લીધા હતા ને તેઓ પાસેથી રૂપિયા ૩૨ હજાર રોકડા ના જુગારનું સાહિત્ય જ કરી તમામ વિરુદ્ધ પોલીસ મથકમાં જુગાર અટકાયતી અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી ડિવિઝન પોલીસ મથક હવાલે કર્યા હતા

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:09 am

ઠગાઈ:મોરબીમાં લોન લીધાનું છુપાવી ફ્લેટ‎ વેચવાના નામે વૃદ્ધને 14 લાખનો ધૂંબો‎

મોરબીમાં ફ્લેટના વેચાણની ઓએલએક્સ ઉપર જાહેરાત મુકતાં એક વૃદ્ધ અને તેના પરિવારજનો તે ફ્લેટ લેવા તૈયાર થતા જ એક મહિલા સહિત ત્રણ શખ્સોએ અગાઉથી જ આ વૃદ્ધને ફ્લેટ વેચવાના નામે શિશામાં ઉતારી લાખો પડાવી લેવાનો પ્લાન ઘડ્યો હતો. મોરબીના ગ્રીનચોક પાસે આવેલ નાની હનુમાન શેરીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (ઉ.વ.68) નામના વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઠગબાજો પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે. બધા આશુતોષ હાઈટસ બ્લોક નં. 101 કાયાજી પ્લોટ શનાળા રોડ મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી પાર્થ મહેતાએ ફોન ઉપર ઓએલએક્સ એપ્લિકેશનમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકી હતી. આ જાહેરાત જોઈને વૃદ્ધ અને તેનો પરિવાર એ ફ્લેટ લેવા તૈયાર થઈ ગયો હતો. આથી ત્રણેય ઠગબાજોએ અગાઉથી આ વૃદ્ધને ફ્લેટ વેચવાના નામે લાખો ખંખેરી લેવાનું કાવતરું ઘડ્યું હતું. એ મુજબ તેઓને વિશ્વાસમાં લઈને આરોપી હીનાબેન મહેતાના નામના પ્લેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલી હોય જે રેકોર્ડ ઉપર હોવા છતાં તેની વિગતો છુપાવી આરોપીઓએ 50 લાખમાં ફ્લેટ વેચવાનું કહેતા બન્ને વચ્ચે રકઝક બાદ અંતે રૂ.41.25 લાખમાં સોદો થયો હતો.જેથી 11 હજાર રોકડ ટોકન આપી બાદમાં 3,90,000 અને 10 લાખનો ચેક મળી 14 લાખ રૂપિયા ચૂકવી સાટાખત નોટરી કરાવ્યું હતું. આ રીતે વૃદ્ધ તથા તેના પરિવારને ફ્લેટ વેચાણ અંગે ખોટો સાટાખત કરી આપી તેની અવાજમાં લાખોની રકમ મેળવી વિશ્વાસમાં લઈને બાદમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરાઇ હતી. આ અંગે વૃદ્ધે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે અને તે પૈકી આરોપી પાર્થ મુકેશભાઈ મહેતાને ઝડપી લીધો હતો. આ ટોળીએ તેમના જ એપાર્ટ.માં રહેતા એક પરિવારને એ જ ફ્લેટ વેચ્યો હોવાનું સામે આવતાં વધુ એક ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:08 am

ચૂંટણી પૂર્વે વિકાસ કાર્યોની વણઝાર ખડી કરવા કવાયત:સીએમ આજે મોરબીમાં,1042 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ તેજ થઇ રહ્યા છે તેમ એક તરફ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તૈયારી તેજ કરી દેવામાં આવી છે તો બીજી તરફ સત્તા અને વિપક્ષે પોતાના ખાંડા ખખડાવવાનું શરૂ કરી દીધું છે. સત્તા પક્ષ જિલ્લાના વિવિધ વિભાગમાં કામગીરી ચાલતી હોવાના અને લોકોને સુવિધા આપવા માટે સજ્જ હોવાનો દાવો કરી રહ્યો છે ત્યારે સીએમ પટેલ આજે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે અને વિવિધ વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મોરબીના રવાપર લીલાપર રોડ પર આવેલા રામકો રેસીડન્સીના ગ્રાઉન્ડમાં સીએમનો પોણા કલાકનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં મોરબી જિલ્લામાં થયેલા કે શરૂ થનારા 1042 કરોડની કિંમતના વિકાસ કામના લોકાર્પણ અને ખાત મુર્હૂત થશે. આ અંતર્ગત અલગ અલગ કુલ 16 વિભાગના 154 કામના લોકાર્પણ અને 130 કામનું ખાત મુર્હુત થશે. સીએમના કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલની આગેવાનીમાં 4 ડીવાયએસપી, 10 પીઆઇ, 25 પીએસઆઇ સહિત કુલ 200થી વધુ પોલીસ જવાન સભા સ્થળ, તેમના રૂટ પર અને હેલીપેડ પર તૈનાત રહેશે. આ ઉપરાંત મોરબી ફાયર વિભાગ આરોગ્ય વિભાગની અને માર્ગ મકાન વિભાગ પીજીવીસીએલ સહિતની ટીમ પણ સ્થળ પર હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:01 am

ભાસ્કર રિયાલીટી ચેક:કુકમા ટોલ પ્લાઝા પર ‘પરીક્ષણ’ના નામે પરેશાની

કચ્છમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરવી હવે મોંઘી અને માથાનો દુખાવો બની રહી છે. કુકમા અને વરસામેડી ટોલ પ્લાઝા શરૂ થતાં હવે જિલ્લામાં ટોલ પ્લાઝાની સંખ્યા અધધ 7 પર પહોંચી ગઈ છે. નવા શરૂ થયેલા પ્લાઝા પૈકી વરસામેડી પર ટેક્સ વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સૌથી ચોંકાવનારી સ્થિતિ કુકમા ટોલ પ્લાઝા પર જોવા મળી છે. દિવ્ય ભાસ્કરે જ્યારે કુકમા ટોલ પ્લાઝા પર રિયાલિટી ચેક કર્યું ત્યારે ગંભીર અવ્યવસ્થા જોવા મળી હતી. અહીં સત્તાવાર રીતે ટોલ લેવાતો નથી, માત્ર સિસ્ટમનું ‘પરીક્ષણ’ ચાલી રહ્યું છે. તેમ છતાં, વાહનચાલકોને સરેરાશ 3થી 5 મિનિટ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગે છે અને સમયનો વ્યય 5 મિનિટ સુધી પહોંચી જાય છે. વારંવાર વાહનો રોકવાને કારણે ભારે શોરબકોર અને વાહનોના હોર્નથી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકની વ્યથા : ‘કહેવા છતાં જવા નથી દેતા’‘હું અંજારથી ભુજ તરફ જઈ રહ્યો હતો. કુકમા ટોલ પર મને રોકવામાં આવ્યો અને કહેવાયું કે કાર થોડી પાછળ લો, પછી કહ્યું આગળ લો. આમ આગળ-પાછળ કરાવ્યા બાદ પણ તેમના કેમેરામાં ખામી હોવાથી ફાસ્ટેગ કેપ્ચર થતું નહોતું. અંદાજે બે મિનિટ સુધી રકઝક ચાલી. મેં કહ્યું કે મારે એક પ્રસંગમાં જવાનું છે, મોડું થાય છે, છતાં જવા ન દીધો. જો માત્ર પરીક્ષણ જ હોય તો રોજ એક-એક લાઇનનું ટેસ્ટિંગ કરવું જોઈએ, બધાને હેરાન ન કરાય.’ > કપીલ પરમાર, વાહનચાલક તંત્રનો જવાબ : ‘કેમ વાર લાગે છે તે ચેક કરીશું’‘કુકમા ખાતે હાલ ફાસ્ટેગ સિસ્ટમનું પરીક્ષણ ચાલી રહ્યું છે. વરસામેડી ટોલ કનેક્શન ચાલુ છે. કુકમામાં હજુ સુધી ટોલ કલેક્શન શરૂ કરાયું નથી. જોકે, પરીક્ષણ દરમિયાન વાહનચાલકોને લાઈનમાં વધારે વાર કેમ ઊભું રહેવું પડે છે, તે બાબતે તપાસ કરીને યોગ્ય કરીશું.’ > અજય સ્વામી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, NHAI

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

હડતાલ:5 દિવસ વર્કિંગ ડે ના અમલીકરણની માંગ સાથે 27મીએ દેશવ્યાપી બેંક હડતાલ

દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના નવ યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં તા.27ના મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાલનું એલાન આપ્યું છે જેમાં દેશની વિવિધ બેંકોના 8 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. અગાઉ આઈબીએ સાથે થયેલી સમજુતીઓ અને કરાર હેઠળ બેંકોમાં 5 દિવસનું સપ્તાહ શરૂ કરવા અને મહીનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નકકી થયુ હતુ. જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુકવાર સુધી પ્રત્યેક દિવસ 40 મીનીટ વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાધવામાં આવી હતી. આ અંગે સરકારની સહમતીની રાહ જોવાય છે. પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીઓએ હડતાલનું એલાન આપવાની ફરજ પડી છે તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિનભાઈ ધોળકીયાએ જણાવવામાં આવ્યું છે. તેમણે વધુમા જણાવ્યું છે કે અઠવાડીયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેઓની કાર્યક્ષમતામાં વધારો થશે. કેન્દ્ર સરકાર અને કેટલીક રાજય સરકારો, એલ.આઈ.સી, રિઝર્વ બેન્ક, શેર બજાર, ફોરેકસ માર્કેટમાં હાલ પાંચ દિવસનું સપ્તાહ અમલી છે. માત્ર બેંક કર્મચારીઓને જ બાકાત રાખવામાં આવેલ છે. દર શનિ રવિ બેંકોમાં રજા રાખવાથી ગ્રાહક સેવાને કોઈ અસર પડશે નહિ. કારણકે આજે નાણાકીય વ્યવહાર માટેના અનેક વિકલ્પો મોજુદ છે. આ બેંક હડતાલમાં રાજકોટના 1500, સૌરાષ્ટ્ર-કચ્છના 5500 સહિત ગુજરાતભરના 15000 જેટલા કર્મચારીઓ જોડાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:અબડાસા વિસ્તારની સીમમાં પવનચક્કી પરથી કિંમતી વાયર ચોરનાર ટોળકી પકડાઈ

અબડાસા તાલુકાના સિંધોડી,કમડ,હાદાપર કડુલી સીમમાં આવેલી પવનચક્કીઓ પરથી વાયર ચોરી કરનાર આઠ આરોપીને એલસીબીએ ઝડપી લીધા હતા. કોઠારા અને જખૌ મરીન પોલીસ મથકે નોધાયેલા ત્રણ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી ૩.50 લાખના વાયર સહીત 16.50 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણાની સુચનાથી ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે, હાદાપરનો ઇરફાન ફકીરમામદ સુમરા તથા તેરા ગામનો મોહમદશરીફ અબ્દુલગની મીયાજી તેમના અન્ય સાગરીતોની સાથે મળી ટોળકી બનાવી અબડાસા તાલુકા વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવન ચક્કીઓમાંથી કોપર કેબલની ચોરીઓ કરે છે અને હાલે આ ટોળકી પવનચક્કીઓમાંથી ચોરી કરેલ કોપર વાયર એક બોલેરો પિકઅપ ગાડીમાં તથા એક ટોયોટો કંપનીની રોમીઓન ગાડીમાં ભરી આરીખાણા ગામથી સાંયરા બાજુ આવી રહ્યા છે. બાતમીને આધારે તપાસ કરતા બન્ને ગાડીમાંથી આરોપી મોહમદશરીફ અબ્દુલગની મીયાજી, ઇરફાન ફકીરમામદ સુમરા, હાસમ અબ્દુલ ગઝણ, ઈકબાલ ઉર્ફે કારો મામદ સોઢા, લતીફ હાસમ સંગાર, રજાક ઇબ્રામ ગઝણ, ઇરફાન નુરમામદ સંગાર અને રીયાઝ અલીમામદ કુંભાર મળી આવ્યા હતા. આરોપીઓના કબ્જાની બન્ને ગાડીમાંથી ૩.50 લાખની કિંમતના 350 કિલો વાયર મળી આવ્યા હતા. જે બાબતે આરોપીની પૂછ પરછ કરતા આધાર પુરાવા ન હોવાનુ અને કડુલીના આરોપી ઇકબાલ ઇભલા સંગાર સાથે મળીને મોટી સિંધોડી, કમડ, હાદાપર, કડુલી સીમમાં આવેલ પવનચક્કીઓમાથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું.એલસીબીએ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. મોટી ખાખરના ઇસમે ચોરીનો માલ ખરીદી ભુજમાં વેચ્યોપૂછપરછ કરતા ચોરીનો અન્ય માલ અગાઉ મોટી ખાખરના રીયાઝ અલીમામદ કુંભારને વહેચ્યો હોવાનું જણાવ્યું હતું.તેમજ બાકી રહેલો મુદ્દામાલ લેવા માટે રીયાઝ પોતાની પીકઅપ બોલેરો ગાડીથી આવ્યો હતો.જે બાબતે પોલીસે આરોપી રીયાઝની પૂછપરછ કરતા અગાઉ ખરીદી કરેલ મુદ્દામાલ ભુજના આરીફ ઉર્ફે લતીફ દાઉદ કુંભારને વહેચી દીધેલો હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

મુલાકાત:ડીડીઓએ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને સમીક્ષા કરી

જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ (IAS)ના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની ભૌતિક સુવિધાઓ મજબૂત બનાવવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલય, રિનોવેશન, કંપાઉન્ડ વોલ સહિતના વિકાસકાર્યો ચાલી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્થળ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિની ચકાસણી કરવામાં આવી રહી છે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી અને સીડીપીઓ દ્વારા પણ નિયમિત દેખરેખ રાખવામાં આવે છે. તાજેતરમાં ભુજ, મુન્દ્રા અને લખપત તાલુકાની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રોની સેવાઓ, બાળકો તેમજ ગર્ભવતી અને ધાત્રી માતાઓના પોષણ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. ‘પોષણ ટ્રેકર’ એપમાં નોંધાયેલ ડિજિટલ ડેટાની પારદર્શિતા, બાળકોના આરોગ્ય અને પૂરક પોષણના વિતરણની પણ તપાસ કરાઈ હતી. આ મુલાકાતોથી પોષણ અને બાળ વિકાસ યોજનાઓને વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ભાસ્કર વિશેષ:દિલ્હી કર્તવ્ય પથ પર યોજાનારી પરેડમાં કચ્છનું ગૌરવ લહેરાવશે માંડવીની એનસીસી કેડેટ

માંડવી શહેર અને સમગ્ર કચ્છ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની NCC કેડેટ જાડેજા જિનલબા દિગ્વિજયસિંહની રાષ્ટ્રીય કક્ષાની પ્રજાસત્તાક દિન પરેડ માટે પસંદગી થવાથી જિલ્લાભરમાં આનંદની લાગણી પ્રસરી છે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના અવસરે દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર યોજાનારી ભવ્ય પરેડમાં તેઓ દેશભરના પસંદગી પામેલા શ્રેષ્ઠ NCC કેડેટ્સ સાથે ભાગ લેશે. દર વર્ષે યોજાતી આ પ્રતિષ્ઠિત પરેડમાં સમગ્ર ભારતમાંથી માત્ર શિસ્ત, શારીરિક ક્ષમતા, નેતૃત્વ ગુણો અને ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે પસંદગી પામેલા કેડેટ્સને જ ભાગ લેવાની તક મળે છે. દેશના 17 NCC ડિરેક્ટોરેટ્સમાંથી કઠોર તાલીમ અને બહુસ્તરીય ચકાસણી બાદ થતી પસંદગીમાં જાડેજા જિનલબાનું સ્થાન મેળવવું એ તેમની મહેનત, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NCC કેડેટ્સ સતત છઠ્ઠા વર્ષે રિપબ્લિક ડે કેમ્પ માટે પસંદગી પામી રહ્યા છે. આ સિદ્ધિ કોલેજની શિસ્તબદ્ધ તાલીમ, રાષ્ટ્રભક્તિપૂર્ણ વાતાવરણ અને ગુણવત્તાયુક્ત માર્ગદર્શનની પરંપરાને દર્શાવે છે. આ વર્ષે પણ કોલેજના NCC વિભાગે કચ્છ જિલ્લાનું માન વધાર્યું છે. કોલેજના આચાર્ય તથા NCC લેફ્ટનન્ટ ડો. મહેશ બારડ, 36 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર વિકાસ પ્રભાકર અને એડમ ઓફિસર સંદીપ ખવાસના માર્ગદર્શન હેઠળ જાડેજા જિનલબા દિગ્વિજયસિંહે દિલ્હી ખાતે RDC કેમ્પમાં કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું છે. સતત પ્રોત્સાહન અને યોગ્ય તાલીમના કારણે આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ શક્ય બની હોવાનું જણાવાયું છે. જાડેજા જિનલબાની આ સિદ્ધિથી માંડવી કોલેજ પરિવાર, શહેર તેમજ સમગ્ર કચ્છમાં ગૌરવ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ પ્રસંગે કોલેજના મંત્રી, પ્રમુખ, કોલેજ પરિવાર, શુભેચ્છકો તથા નાની ખાખર રાજપૂત સમાજ દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

રણમાંથી રોજગાર:રણોત્સવ સખી ક્રાફ્ટ બજારમાં એક મહિનામાં પાંચ કરોડથી વધુ વસ્તુઓનું વેચાણ

રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી રણોત્સવમાં આ વર્ષે 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન “સખી ક્રાફ્ટ બજાર”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રણોત્સવમાં આવેલા પ્રવાસીઓ માટે આ બજાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સખી ક્રાફ્ટ બજારમાં સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા હસ્તકલા અને ઘરઉપયોગી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ ડોમમાં 100 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બજારમાં અત્યાર સુધી ૫ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ થયું છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ સમાન છે. સાથે જ અત્યાર સુધી 4.5 લાખથી વધુ પ્રવાસીઓએ સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી છે. આ બજારમાં કુલ 330 સ્વસહાય જૂથોની મહિલાઓને અલગ-અલગ તબક્કામાં સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોની મહિલાઓ પણ જોડાઈ છે. અહીં હસ્તકળા, હાથવણાટ, માટીના વાસણો, પરંપરાગત જ્વેલરી, હોમ ડેકોર તેમજ પેકેજ્ડ ફૂડ જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. પરંપરાગત કળા અને આધુનિક ડિઝાઇનનું અનોખું સંયોજન પ્રવાસીઓને ખાસ આકર્ષી રહ્યું છે. સખી ક્રાફ્ટ બજારને વધુ રોમાંચક બનાવવા લાઇવ સંગીત કાર્યક્રમો અને કાફેટેરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓ માટે આ બજાર યાદગાર અનુભવ બની રહ્યું છે. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા દર વર્ષે સખી મંડળની બહેનો માટે રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળા અને પ્રાદેશિક મેળાઓ યોજવામાં આવે છે. આ વર્ષે તેમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોલોમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, સ્વદેશી મેળા અને પ્રવાસન કાર્યક્રમોમાં પણ સખી મંડળોને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે તક આપવામાં આવી છે. રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા આપતું સફળ ઉદાહરણ બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

વિન્ટર ફેસ્ટિવલમાં કચ્છના ગાયકોએ લોકગીતોની રમઝટ બોલાવી:કચ્છના સૂર અને મધ્યપ્રદેશના નૃત્યના તાલે જામી અનોખી સાંસ્કૃતિક જુગલબંધી

વિન્ટર ફેસ્ટિવલના ત્રીજા દિવસે સાંજે ગાર્ડન સ્ટેજ પર ‘રેયાણ’ કાર્યક્રમમાં કચ્છના ગાયક અનિરુદ્ધ આહિરે લોકગીતોની રમઝટ બોલાવી હતી, લોકસાહિત્યકાર અર્જુનદાન ગઢવીએ લોકવાર્તાઓ રજૂ કરી તેમજ ગાયિકા પૂજા પરમાર અને બાળ કલાકાર પ્રિયમ પોટાએ કચ્છી લોકગીતો અને ભજનોની રજૂઆત કરી હતી. ત્યારબાદ મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રૂપ, બંસીધર રાસ, સત્વ ડાન્સ એન્ડ યોગા સ્ટુડિયો, નૂપુર નૃત્ય, નૃત્યનાદ વિવિધ ગ્રૂપ દ્વારા પારંપરિક નૃત્યો રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. મોહનભાઇ પટેલ, રાજવી પરિવારના ઇન્દ્રજીતસિંહ, અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, લોકસાહિત્યકાર લાલભાઈ રાંભીયા, લોહાણા સમાજના અગ્રણી ડો. મુકેશભાઇ ચંદે ઉપસ્થિત રહ્યા હતા. કલાકારોનું અભિવાદન ઉપસ્થિત મહાનુભાવો તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, સી.ઈ.ઓ. રાજીવભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પી. આર., ઈવેન્ટ હેડ મહેશભાઇ ગોસ્વામીએ ઊભરતા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે એલ.એલ.ડી.સી.નો મંચ હંમેશા અગ્રેસર રહ્યો હોવાનું જણાવ્યું હતું કે, કેટલાય કલાકારોએ આ મંચ પરથી આગળ વધીને નામના મેળવી છે તેનો રાજીપો છે. ફેસ્ટિવલમાં કચ્છની પ્રખ્યાત માટીકલા (પોટરી) ના કારીગરો અહીં આવતા મુલાકાતીઓ સમક્ષ આ કળાની લાઈવ પ્રસ્તુતિ કરીને કલા રસિકોને જોડી રહ્યા છે તો તેની સાથે કચ્છની વિખ્યાત બાંધણી અને અજરખ બ્લોક પ્રિન્ટિંગની પણ જીવંત પ્રસ્તુતિ સાથે લોકો જાતે નમુનાઓ બનાવીને ઓતપ્રોત થઈ રહ્યા છે. વિશેષમાં રાજસ્થાની જગમશહૂર કઠપૂતળીના ખેલ સતત પ્રસ્તુત થઈ રહ્યા છે. મેઇન સ્ટેજ પરથી આજે મધ્યપ્રદેશથી આવેલ નિમાડ ગ્રૂપ દ્વારા ધમાકેદાર પ્રસ્તુતિ કરી હતી. સંચાલન કપિલ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

દબાણકર્તાઓને ફટકારવામાં આવ્યો દંડ:વ્યારામાં 2 કિમીના બજાર માર્ગ પર ટ્રાફિક હળવું કરવા કાર્યવાહી

વ્યારા નગરમાંના વ્યસ્ત 2 કિમી લાંબા મુખ્ય બજારમાં ટ્રાફિક અને પાર્કિંગની વકરતી સમસ્યાને લઈ પોલીસ મેદાન માં ઉતરી કાર્યવાહી દરમિયાન દુકાનદારો દ્વારા દુકાન બહાર સામાન મૂકીને રસ્તા અને ફૂટપાથ પર કરાયેલા અતિક્રમણ તેમજ ગેરરીતે વાહનો પાર્ક કરીને ટ્રાફિક અવરોધ ઉભો કરાતો હોવાનું સામે આવ્યું. પોલીસે આવા નિયમભંગ સામે કોઈપણ પ્રકારની ઢીલાશ ન રાખતા તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરી હતી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર 21 હાજરીથી વધુ લોકો સામે કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. વ્યારા નગર માં બે પીઆઈ બી.જી.રાવલ અને ટ્રાફિક પીઆઇ સલીમ શેખ અને 25 થી વધુ પોલીસ સ્ટાફ સાથે પગપાળ ચેકિંગ હાથ ધર્યું હતું. સાથે ત્રણ પેટ્રોલિંગ વાહનો પણ જોડાયા હતા. અચાનક કાર્યવાહીથી બજાર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ સતત ચેકિંગ હાથ ધરાશે તેવા સંકેતો અપાયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:તાપી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સૂચના

તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ગુરુવારે જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળી પ્રજાપ્રશ્નોના ઝડપી અને અસરકારક નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 13 અરજદારો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે પોતાની રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં જમીન, આવક, માર્ગ, પાણી પુરવઠા, સામાજિક સુરક્ષા સહિતના પ્રશ્નો અને માંગણીઓ રજૂ થઈ હતી. કલેક્ટર ડો. વિપીન ગર્ગે દરેક અરજીને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા તથા નિયમ મુજબ યોગ્ય નિરાકરણ લાવવા માટે વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિરાકરણ લાવી તેમને ન્યાય અપાવવાનો છે. પ્રજાની રજૂઆતો પ્રત્યે સંવેદનશીલતા રાખી અધિકારીઓએ સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવી જરૂરી હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડા જશુભાઈ દેસાઈ, મદદનીશ કલેક્ટર ડો. રિતિકા આઈમા, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

મહત્વની બેઠક યોજાઈ:પાટણ નગરપાલિકાની સરકારી ગાડીના દુરુપયોગ બદલ કર્મીને ફરજ પરથી દૂર કરવા કારોબારીમાં નિર્ણય કરાયો

પાટણ નગરપાલિકામાં શુક્રવારે સાંજે કારોબારી ચેરમેન મુકેશ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક શરૂ થતાની સાથે જ વિકાસના કામો કરતા પાલિકાની માલિકીની ગાડીના દુરુપયોગનો મુદ્દો સૌથી વધુ ગાજ્યો હતો. પાલિકાની બોલેરો કેમ્પર ગાડી છેલ્લા 5 દિવસથી કોઈને જાણ કર્યા વગર બહાર ફરી રહી હોવાનું સામે આવતા શાસકો લાલઘૂમ થયા હતા. કારોબારીમાં આ મામલે ગંભીર ચર્ચા થયા બાદ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ગાડીના આ વિવાદમાં સંકળાયેલા કર્મચારી પાર્થ મોદીને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જોકે, પાલિકાએ મધ્યમ માર્ગ અપનાવતા જણાવ્યું હતું કે, જો તપાસમાં તે નિર્દોષ સાબિત થશે, તો જ તેને ફરીથી ફરજ પર પરત લેવામાં આવશે. બેઠકમાં કુલ 19 કામો (8 રૂટિંગ અને 11 વધારાના) પર ચર્ચા કરવામાં આવી હતી. શહેરના વિકાસ મુદ્દે ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારમાંથી ગ્રાન્ટ ઓછી આવી હોવા છતાં વર્ક ઓર્ડર અપાઈ ગયેલા કામોને અટકવા દેવાશે નહીં. અન્ય ગ્રાન્ટોમાંથી રકમ એડજસ્ટ કરીને પણ શહેરના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

કાર્યવાહી:સાંતલપુરમાં મતદાર યાદીમાં નામ કમી કરવા ખોટા વાંધા આપતા કાર્યવાહી કરો : કોંગ્રેસ

સાંતલપુર તાલુકામાં મતદાર યાદી સુધારણામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી નામ કમી કરવા માટે ખોટા વાંધા રજુ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. સાંતલપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર એ આવેદનપત્ર આપી રજુઆત કરી વાંધા અરજીઓ સામે યોગ્ય તપાસ કરવા માંગ કરી છે. સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદ ખાને જણાવ્યુ હતું કે સાંતલપુર તાલુકામાં આશરે 3200 જેટલા મતદારોના નામ સામે વાંધા દર્શાવતા સાત નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે.જે બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.આ પ્રસંગે મહેબુબ ખાન,મુરીઝ ખાન,પૂર્વ સરપંચ હાજીખાન અને જાહિદ ખાન ફુલપુરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ગુરુ ઉપકાર મહોત્સવ:શિલ્પી પથ્થરને ટાંકણે કંડારી શિલ્પ બનાવે છે, તેમ ગુરુ શિષ્યના જીવનનું ઘડતર કરે છે

પાટણના પંચાસરા જિનાલય સ્થિત ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના દીક્ષા જીવનની 73મી વાર્ષિક તિથિ નિમિત્તે શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા એક દિવસીય ગુરુ ઉપકાર મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુનિરાજ પૂ. ચારિત્રરત્ન વિજયજી અને પૂ. અજિતસેનવિજયજી મહારાજ આદિ ઠાણાની પાવન નિશ્રામાં યોજાયેલી ગુણાનુવાદ સભામાં મુનિરાજ પૂ. ચારિત્રરત્ન વિજયજીએ ગુરુમહિમા વર્ણવતા પ્રેરક વચનો ઉચ્ચાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુરુ એ સંસાર સાગરમાંથી પાર ઉતારનારા નાવિક છે અને ગુરુ વિના જ્ઞાનદીપ પ્રગટી શકતો નથી. જે રીતે શિલ્પી પથ્થરને ટાંકણે કંડારી શિલ્પ બનાવે છે, તેમ ગુરુ શિષ્યના જીવનનું ઘડતર કરે છે. આ પ્રસંગે પાટણના વિવિધ જિનાલયોમાં પ્રભુજીની મનોહર આંગી રચવામાં આવી હતી અને મોટી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકા ઓએ સામૂહિક આયંબિલ તપની આરાધના કરી હતી. મહોત્સવના ભાગરૂપે જીવદયાના કાર્યો પણ કરવામાં આવ્યા હતા, જેમાં નેનાવા નિવાસી જમનાબેન જીવરાજજી પરિવાર (મુંબઈ) દ્વારા જિલ્લામાં અબોલ પશુઓને ઘાસચારાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, હીરાણી પરિવાર (બેંગલોર) દ્વારા વિદ્વાન પંડિતવર્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આચાર્ય લબ્ધિવલ્લભસૂરિજી સહિતના સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

આઠ શૌચાલયો તૈયાર કરવા આયોજન:પાટણ શહેરમાં ખાનગી એજન્સી 8 સુવિધાઓ સાથે શૌચાલય બનાવશે

પાટણ નગરપાલિકામાં સ્વચ્છતા શાખા દ્વારા પાલિકાના તિજોરી પર બોજ નાખ્યા વિના ખાનગી એજન્સીઓ દ્વારા શહેરના આઠ શૌચાલયો તૈયાર કરવા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એજન્સીઓ પોતાના ખર્ચે નિર્માણ અને નિભાવણી કરશે, જેના બદલામાં તેમને શૌચાલય પર માત્ર જાહેરાત પ્રદર્શિત કરવાનો હક મળશે. લોકોને શૌચક્રિયા માટે નિશુલ્ક પ્રવેશ આપશે. ચેરમેન હરેશ મોદીએ જણાવ્યું હતું કે પાટણના અનેક વિસ્તારોમાં હાલ શૌચાલયો અત્યંત જર્જરિત અને ગંદકીથી ખદબદતા જોવા મળે છે. ખાસ કરીને દોશીવટ બજારમાં જૂના શૌચાલય તોડીને ત્યાં નવું સ્ટ્રક્ચર ઊભું કરાશે. એજન્સીઓ માત્ર બાંધકામ જ નહીં, પરંતુ તેની રોજિંદી સફાઈ અને જાળવણી માટે પણ જવાબદાર રહેશે. આ નિર્ણયથી પાલિકાના મેન્ટેનન્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને નાગરિકોને ચોખ્ખી સુવિધા મળશે. આ અંગે આગામી સામાન્ય સભામાં ઠરાવ થશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

કલેકટરે આસપાસના દબાણો દૂર કરવા માટેનો પણ આદેશ આપ્યો:વિજાપુર ટીબી રોડ નજીકના અંડર પાસની બંને બાજુ રોડ બનાવાશે

ફિલ્ડમાં લોકોને પડતી સમસ્યાનો ઉકેલ કરવા માટે બુધવારના રોજ વિજાપુર પહોંચેલા જિલ્લા કલેકટર શૈલેષભાઈ પ્રજાપતિએ ટીબી રોડ નજીક બનાવવામાં આવેલ અંડર પાસની બંને બાજુઓ પાકા ડામરનો નવીન રોડ બનાવવા માટે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની ઘણા સમયથી માગણી હતી. તેના માટે માર્ગ અને મકાન વિભાગને સૂચના આપીને નવીન રોડ બનાવવાનું કહ્યું હતું. સાથે મહાલક્ષ્મી સોસાયટીની સામે અંડર પાસના બીજી તરફના રસ્તામાં વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરીને રસ્તો બ્લોક કરી દેતા હોવાથી જિલ્લા કલેકટર શૈલેષભાઈ પ્રજાપતિએ સ્થાનિક પીઆઈને તમામ વાહન ચાલકો સામે ચલણ આપીને દંડની કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપી હતી. આ ફિલ્ડ વિઝિટમાં ડેપ્યુટી કલેક્ટર દેવાંગ રાઠોડ સ્થાનિક મામલતદાર અતુલસિંહ ભાટી અને પીઆઇ વનરાજસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સાંજે 5.30 કલાકે તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું‎:ઉ.ગુ.માં 22.6 ડિગ્રી સાથે ગુરુવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો

ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પ્રતિ કલાકે સરેરાશ 12 કિલોમીટરની ઝડપે ઉત્તર દિશાનો પવન ફૂંકાયો હતો. ઠંડા પવનના કારણે પોણા ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં પોણા 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 22.6 ડિગ્રી સાથે શુક્રવારનો દિવસ અત્યાર સુધીની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જ્યારે સાંજે 5.30 કલાકે તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં આવેલા નોંધપાત્ર ઘટાડાના કારણે દિવસે જ કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. 24 કલાકમાં હજુ ઠંડી 2-3 ડિગ્રી વધશેહવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ત્યાર બાદ ઠંડી નબળી પડી શકે છે. 25 થી 27 જાન્યુઆરી દરમિયાન ઠંડી 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં કડકડતી ઠંડીથી રાહત મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

10 દાખલાની મર્યાદા દૂર થઇ:ગ્રા.પં.માં નવા સોફ્ટવેરમાં સુધારો થયો

બનાસકાંઠા જિલ્લાની 872 ગ્રામ પંચાયતમાં સોફટવેર બદલાતાં જન્મ મરણના જુના દાખલા એક માસમાં માત્ર 10 જ સુધરતાં હતા. દરમિયાન દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ શુક્રવારથી સીસ્ટમમાં સુધારો આવતાં આ મર્યાદા દુર થઇ હોવાનું જિલ્લા વી.સી.ઇ.ઓ. પ્રમુખે જણાવ્યું હતુ. બનાસકાંઠા જિલ્લાની 872 ગ્રામ પંચાયતોમાં ઇ- ઓળખ સોફટવેરના સ્થાને નવા કેન્દ્રીય નાગરિક રજિસ્ટ્રાર પોર્ટલ અપલોડ કરાયું છે. જોકે, તેમાં જન્મ મરણના જુના દાખલા એક માસમાં માત્ર 10 જ સુધારી શકાતા હતા. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ કરવામાં આવતાં શુક્રવારથી સીસ્ટમમાં સુધારો થયો છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા વી. સી.ઇ. ઓ. પ્રમુખ રામસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં E olakh પોર્ટલ બંધ છે તેમાં નવી કોઈ નવી જન્મ મરણ એન્ટ્રી કે નામમાં સુધારો થતો નથી. પરંતુ વર્તમાન માં જે નવું CRS પોર્ટલ ચાલુ છે તેમાં નવી જન્મ મરણ નોંધણી ચાલુ છે. કોઈ અરજદાર જુના દાખલા લઈને આવે તો તે દાખલા રેકર્ડ પ્રમાણે ચેક કરી એની નવી ડેટા એન્ટ્રી કરી એ દાખલો કે પ્રમાણપત્ર આપી શકાય છે. આવી એન્ટ્રી માટે મહિનામાં 10 જ એન્ટ્રી થતી હતી. જે લિમિટ હવે રહી નથી. 10 કરતા વધુ એન્ટ્રીઓ પણ ચાલુ થઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

કાર્યવાહી:ઓડદર ગામ નજીક કારમાંથી 432 નંગ વિદેશી દારૂ અને બીયરનો જ્થ્થો ઝડપાયો

ઓડદર ગામ સતી માંના વિસામા થી વિરા ભગતની જગ્યા તરફ જતા રોડ પર એલસીબીએ વોચ રાખી દરોડો પાડી કારમાંથી 432 જેટલી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો બીયર મળી આવતા કુલ રૂ.8,85,920નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમ્યાન આરોપી નાશી છૂટ્યો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા જીલ્લામાંથી વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલસીબી પીઆઈ આર. કે. કાંબરીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઓડદર ગામ સતી માંના વિસામા પાસે પહોંચતા બાતમી મળેલ કે, ઓડદર ગામ વિરા ભગતની જગ્યા વાળા રસ્તે થી એક સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સતી માંના વીસામા તરફ કાર આવે છે. જેથી આ સ્થળે ટીમ વોચમાં હતી તે દરમ્યાન કાર આવતા કારના ચાલકે પોલીસ સ્ટાફને જોઇને કાર દુર ઉભી રાખી અંધારામાં નાશી ગયો હતો. તપાસ કરતા કારની પાછળની સીટ તથા ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી 432 જેટલી બોટલ અને બીયર ટીન મળી આવતા, ટીમે કાર સહિત કુલ રૂ. 8,85,920નો મુદ્દામાલ કબ્જે કરી, નાશી જનાર ચાલક સામે ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

રસીકરણની કામગીરી પૂર્ણ:પશુપાલન વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ખરવા મોવાસાની 1.72 લાખ પશુઓનો વેક્સિન આપી

પોરબંદર જિલ્લામાં રહેલ પશુઓનો પશુપાલન વિભાગ દ્વારા વર્ષમાં 2 વખત ખરવા અને મોવાસાની રસી આપવામાં આવે છે.જિલ્લામાં પોરબંદર પશુપાલન વિભાગ દ્વારા 135407 ભેંસ અને 37429 ગાયને મળી કુલ 172836 પશુઓનો પ્રથમ તકક્કામાં રસીકરણ આપવામાં આવી છે.ત્યારે હવે બીજા તબક્કાની માર્ચ 2026થી 1.75 લાખ પશુઓને વેકસીન આપવાનો પ્રારંભ કરવામાં આવશે. પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે પશુપાલન વિભાગ આવેલ છે.આ વિભાગ દ્વારા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો અને માલધારીઓ માટેની વિવિધ સરકારી યોજના તેમજ સરકારી લાભ આપવામાં આવે છે તો જિલ્લામાં રહેલ પશુઓ માટે પશુ દવાખાના અને પશુઓનો આરોગ્યની સેવા પણ પુરી પાડવામાં આવે છે.પોરબંદર જિલ્લામાં રહેલ પશુઓ માટે સમયાંતરે પશુ કેમ્પ પણ આયોજન કરવામાં આવે છે. જિલ્લામાં રહેલ માલિકીના પશુઓ માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે વર્ષમાં 2 વખત ખરવા અને મોવાસા રસી આપવામાં આવે છે જે શિયાળા અને ચોમાસા પૂર્વે આપવામાં આવે છે.ત્યારે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં ખરવા અને મોવાસાની રસી આપવાની કામગીરી અલગ અલગ ટીમ મારફતે શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા દોઢ માસ દરમ્યાન કુલ 172836 પશુઓનો ખરવા મોવાસાની રસીકરણ આપવામાં આવી છે.જેમાં 135407 ભેંસ અને 37429 ગાયને રસી આપવામાં આવી છે.ત્યારે બીજા તબક્કાની 1 માર્ચ 2026 થી દોઢ માસ સુધી 1.75 લાખ પશુઓને વેકસીન આપવામાં આવશે. પ્રથમ તબક્કાની રસીકરણ પ્રકિયામાં વિલંબ થયો પોરબંદર જીલ્લામાં દર વર્ષે ચોમાસા પૂર્વે શરૂ કરવામાં આવે છે.પરંતુ આ વર્ષે રસીકરણના ડોઝ આવવામાં વિલંભ થતા રસીકરણ પ્રકિયામાં વિલંભ થયો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

4 કિમીના રોડના કામમાં ગેરરીતિ:માળીયા પંથકના બરૂલા-આછીદ્રાને જોડતા રોડનો ડામર નબળો નીકળ્યો !

માળીયામાં બરૂલાથી આછીદ્રાને જોડતા અંદાજે ચાર કિલોમીટર રોડના કામમાં બેદરકારી સામે આવી છે. રોડના નિર્માણ દરમિયાન ઉપયોગમાં લેવાયેલું ડામર મટીરીયલ નબળું હોવાનું તપાસમાં બહાર આવતા સંબંધિત વિભાગે તાત્કાલિક કામ બંધ કરાવ્યું છે. બરૂલા–આછીદ્રા રોડનું કામ સંબંધી એજન્સી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ લેયર દરમિયાન જ ડામરની ગુણવત્તા શંકાસ્પદ લાગતા સ્થાનિક લોકોએ અધિકારીઓને જાણ કરી હતી. ફરિયાદ મળતાં જ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.ચકાસણી દરમિયાન ડામર મટીરીયલની ગુણવત્તા નબળી હોવાનું સ્પષ્ટ થતાં વિભાગે તરત જ રોડનું કામ અટકાવવાનો આદેશ આપ્યો હતો. સાથે સાથે ઉપયોગમાં લેવાયેલા મટીરીયલના સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એજન્સી સામે કડક કાર્યવાહી કરો‎વિભાગે એજન્સીને સ્પષ્ટ સૂચના આપી છે કે હાલના નબળા મટીરીયલને સંપૂર્ણપણે હટાવી, ગુણવત્તાયુક્ત મટીરીયલથી ફરીથી રોડનું કામ શરૂ કરવામાં આવે. રોડના કામમાં બેદરકારી સામે આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

હુમલો:યુવક પર પાઈપ વડે હુમલો, 2 મહિલા સહિત 11 શખ્સ સામે પોલીસ ફરિયાદ

ભેસાણના ગોરવીયાળી ગામે એક યુવક પર લોખંડના પાઈપ વડે હુમલાનો બનાવ બન્યો હતો. ભેસાણ તાલુકાના ગોરવીયાળીના 60 વર્ષીય પાલાભાઈ દેવાભાઈ સોલંકીની ફરિયાદ અનુસાર તેનો પુત્ર જેન્તી ગઈ તારીખ 19 જાન્યુઆરીના રોજ રાત્રે 8:30 વાગ્યે ગામમાં માવો ખાવા ગયો હતો. ત્યારે મગનભાઈના ઘર પાસેથી નીકળતા મગનભાઈ ખોડાભાઈ દાફડા, અશોક જસાભાઈ સોલંકી, પ્રવીણ માણસુરભાઈ સોલંકી, પ્રેમજી ખોડાભાઈએ મશ્કરી કરતા યુવાન તેના ઘર તરફ આવતો રહેલ અને ઘર પાસે પહોંચતા ચારેય શખ્સ તથા તેની સાથે મગનભાઈના પત્ની શારદાબેન, પ્રેમજીભાઈના પત્ની દક્ષાબેન, તેના બંને દીકરા સુનિલ, રાજેશ તેમજ જેન્તી બીસુભાઈ સોલંકી સહિત 11 શખ્સોએ આવી બોલાચાલી કરી હતી અને વિજયએ લોખંડના પાઈપ વડે જેન્તીભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા દરમિયાન અન્ય શખ્સો પાલાભાઈના પુત્ર હિંમતને પણ માર્યો હતો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ​ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે 108 મારફતે ભેસાણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથામાં ટાંકા આવ્યા હતા. પોલીસે વૃધ્ધની ફરિયાદ આધારે 2 મહિલા સહિત 11 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

વેધર રિપોર્ટ:હવામાનમાં પલટો, વાદળો છવાયા, તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો

ગુરુવારે ઓચિંતા હવામાનમાં પલટો આવતા જૂનાગઢ સહિત સોરઠના આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો જોકે સવારે, બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેતા પવન બરફીલો થઈ ગયો હતો. મંગળવાર થી તાપમાનમાં શરૂ થયેલો વધારો સતત ચોથા દિવસે પણ યથાવત રહ્યો હતો પરંતુ શુક્રવારની સવારે હવામાનમાં ઓચિંતોપલટો આવ્યો હતો અને તે સાથે આકાશમાં વાદળો છવાય ગયા હતા. પરંતુ લઘુતમ તાપમાન 2.1 ડિગ્રી વધીને ફોર ડીગ્રી નોંધાયું હતું. તાપમાન વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને 86 ટકાએ પહોંચી જતા વ્હેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી. સવારથી 4.4 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા દિવસ દરમિયાન વાતાવરણ બરફીલું રહ્યું હતું. જેની અસર બપોરના તાપમાન પર થઈ હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ખાખડીના ભાવમાં તેજી નોંધાઈ:જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખાખડીનો રેકોર્ડબ્રેક ભાવ, એક કિલોના રૂ.1600 ઉપજ્યા

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ફળ વિભાગના હરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, માર્કેટમાં ખાખડીનો ભાવ રૂપિયા 1600 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. મોંઘા ભાવ હોવા છતાં માર્કેટમાં તેની સારી માંગ જોવા મળી રહી છે. હાલમાં યાર્ડમાં 10 કિલોથી વધુ ખાખડીની આવક નોંધાઈ છે. સીઝનની શરૂઆતમાં ઓછી આવક અને સામે વધુ માંગ હોવાને કારણે ભાવમાં આટલો મોટો વધારો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

તાયફાઓમાં વ્યસ્ત બન્યા નેતાઓ:છેલ્લે વાયદો કર્યો તેને પણ 3 માસ વીતી ગયા, તાયફાઓમાં વ્યસ્ત નેતાઓ પાસે સમયની કમી

ગુજરાતની કોકિલકંઠી ગાયિકા અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિવાળીબેન ભીલ, જેમણે પોતાના અવાજથી ગુજરાતી લોકસંગીતને વિશ્વસ્તરે ગુંજતું કર્યું, આજે તેમનું સન્માન જળવાવાને બદલે તેમની પ્રતિમા બંધ રૂમોમાં કેદ થઈ ગઇ છે. મહાનગરપાલિકાના સત્તાધીશો અને નેતાઓએ ભારે ગાજવીજ સાથે બસ સ્ટેશન પરિસરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. પરિવારજનોને આશ્વાસન અપાયું હતું કે આ પ્રતિમા નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે. જો કે, મહિનાઓ વીતી ગયા હોવા છતાં, એ 'પ્રેરણા' આજે એક અંધારા રૂમમાં બંધ અવસ્થામાં પડી છે. પરિવારજનોની લાગણી દુભાઈ રહી છે કારણ કે તેમને આપવામાં આવેલા વચનો માત્ર કાગળ પર રહી ગયા હોય તેવું લાગે છે. જ્યારે કોઈ કલાકાર જીવિત હોય ત્યારે તેમની વાહવાહી કરવામાં તંત્ર પાછું પડતું નથી, પણ તેમના નિધન બાદ તેમની સ્મૃતિ જાળવવામાં આટલી ઢીલાશ કેમ? શું મહાનગરપાલિકા પાસે પ્રતિમાના અનાવરણ માટેનો પણ સમય નથી? જ્યારે પણ પૃચ્છા કરવામાં આવે ત્યારે માત્ર 'ટૂંક સમયમાં થઈ જશે' જેવા પોકળ જવાબો મળે છે. આ વિલંબ પાછળ વહીવટી મંજૂરીઓનું બહાનું છે કે પછી રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, તે મોટો પ્રશ્ન છે. બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે પ્રતિમા મૂકવાનો હેતુ એ હતો કે લાખો મુસાફરો આ મહાન કલાકારના પ્રદાનને જાણી શકે. મનપાના સત્તાધિશોએ પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતીમા મુકવાનો વાદો કર્યો હતો એ વાતને 3 મહિના વિતી ગયા છે, પ્રતિમા તૈયાર છે પણ તેને સ્થાપિત કરવાનો નેતાઓ પાસે સમય નથી એટલે આ રૂમમાં મુકી દેવાઇ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ફરિયાદ:ઈજનેર પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ

નવાગામ ઘેડ, સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતી ખુશ્બુબેન રમેશભાઈ મકવાણા નામની યુવતીએ ડિપ્લોમા કોમ્પ્યુટર ઈજનેર તરીકેનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોય, અને તેણીના લગ્ન તા.22.1.2024ના રોજ વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિક પરમાર સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ નાની-નાની બાબતોમાં સાસરીયા પક્ષના પતિ હાર્દીક દીલીપભાઈ પરમાર, સાસુ ભાવનાબેન પરમાર, સસરા દીલીપ પરમાર અને નણંદ સીમાબેન મીતેષભાઈ જોષી ઝગડો કરી, શારીરિક-માનસિક દુ:ખ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. ઘરકામ જેવી બાબતોમાં વાંક કાઢીને ઝગડો કરી, અપશબ્દો બોલી મારકુટ કરીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. જે અંગેની પરીણિતાએ પોલીસમાં સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

લસણ અને કપાસની આવક‎:યાર્ડમાં ડુંગળીએ ખેડુતોને રડાવ્યા, કિલોના રૂા. 2

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં 1055 ખેડુતો 23,894 મણ સાથે 21 જણસીઓ હરરાજીમાં લાવ્યા હતા. જેમાં સૌથી વધુ લસણ અને કપાસની આવક થઈ હતી. તો ડુંગળીના 2 રુપિયે કીલોએ હરરાજી થઈ હતી. હાપા યાર્ડમાં શુક્રવારે જુવાર 18 મણ, બાજરી 83, ઘઉં 538, મગ 3, અળદ 68, તુવેર 105, મઠ 4, ચોળી 207, ચણા 725, એરંડા 293, રાયડો 63, લસણ 5142, કપાસ 5358, જીરૂ 1179, અજમો 4296, અજમાની ભુસી 2731, મરચા 495, સુકી ડુંગળી 2274, સોયાબીન 275, વટાણા 42 મણની આવક થઈ હતી. જેમાં સૌથી વધુ લસણ અને કપાસની રહી હતી. તો ડુંગળીના ભાવ ઓછા મળતા હોવાથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આવેલી ડુંગળીની હરરાજીમાં કીલોના રૂ.2 થી લઈને 15 સુધીના ભાવે સોદા થયા હતા. જેથી ખેડુતોનો ઉત્પાદનનો ખર્ચ પણ નીકળતો નથી. ડુંગળીના વાવેતર કરનાર ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવું પડે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

કામગીરી:2 હથિયારના પરવાના રીન્યુ ન કરાવતા વેપારી સામે ફરિયાદ

જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા એક આસામીએ જુદા જુદા 2 સમયે અલગ અલગ હથિયારના પરવાના મેળવ્યા બાદ બે હથિયાર ખરીદ્યા હતા. ત્યારપછી પરવાનો રીન્યુ કરવાની મુદ્દતમાં પરવાના રીન્યુ નહીં કરાવતા બંને હથિયાર કબજે કરી એસઓજીએ ગુન્હો નોંધ્યો છે. શહેરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટીમાં રહેતા મૂળ જામનગર તાલુકાના નારણપર ગામના ભાવેશ ચંદુભાઈ નંદા નામના આસામીએ વર્ષ 2010ના ઓક્ટોબર મહિનામાં બાર બોરની બંદૂક માટે લાયસન્સ પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી વર્ષ 2016ના જૂન મહિનામાં પિસ્તોલનું લાયસન્સ તેઓએ જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર જિલ્લામાંથી મેળવ્યું હતું. ત્યારપછી આ આસામીએ બંને લાયસન્સની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેને સમયસર રીન્યુ કરાવ્યા ન હતા અને તે રીતે હથિયારના લાયસન્સની શરતોનો ભંગ કર્યો હતો. જે અંગે એસઓજી દ્વારા હથિયારના લાયસન્સધારકોની ચકાસવામાં આવી રહેલી વિગતો દરમિયાન ઉપરોક્ત બાબત ધ્યાનમાં આવતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચનાથી ગઈકાલે ભાવેશ નંદાના ઘરે ધસી ગયેલી એસઓજી ટીમે ત્યાંથી રૂ।.20 હજારની કિંમતની બાર બોરની બંદૂક અને રૂ।.1 લાખની કિંમતની પિસ્તોલ કબજે કરી લઈ આ આસામી સામે હથિયારના લાયસન્સના શરતના ભંગનો ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સમસ્યા:કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી આંશિક રદ

જામનગર જિલ્લાના કાનાલુસ સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ અને પ્લેટફોર્મના નિર્માણ કાર્યને લીધે 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી- 2026 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. તેમ રેલ્વે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ​આંશિક રીતે રદ થયેલી ટ્રેનોમાં ​ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ તા.26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી - 2026 સુધી પોરબંદરથી ઉપડીને માત્ર ગોપજામ સુધી જ ચાલશે અને ગોપજામ–કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ ​ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલ તા.28 ફેબ્રુઆરી સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ઉપડશે અને કાનાલુસ-ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેથી મુસાફરોને તકલીફ ન પડે તે માટે તેઓએ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન અંગેની અદ્યતન માહિતી માટે મુસાફરોએ www.enquiry.indianra il.gov.in વેબસાઇટ પર જોઈ શકે છે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. તે માટે રાજકોટ ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેની તમામ રેલ્વે મુસાફરોએ ધ્યાનમાં લેવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સુવિધા:જીએસટી નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા માટે જામનગરમાં 26 જાન્યુ.થી સેવાકેન્દ્ર શરૂ કરાશે

જામનગર જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવા GST નોંધણી સંબંધિત પ્રક્રિયામાં સહેલાઈ અને પારદર્શક સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર જામનગર ખાતે GST સેવાકેન્દ્ર આગામી 26મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જેથી વેપારીઓ માટે જીએસટી નોંધણી પ્રક્રિયા સરળ બની રહેશે. જામનગરમાં GST સેવાકેન્દ્ર જિલ્લા સેવા સદન–2, બીજો માળ, લાલ બંગલો કેમ્પસ, દર ગુરુવાર અને શુક્રવારના રોજ સવારે 10:30 થી 6:10 સુધી કાર્યરત રહેશે. GST નોંધણી માટે દરેક નવી અરજીઓમાં સિસ્ટમ મુજબ સ્લોટ સિલેક્શન થોડા સમય માટે હાલ પુરતું જુનાગઢ દર્શાવવામાં આવી શકે છે તેમ છતાં આવી અરજીઓ માટે અરજદારોએ આધાર ઓથેન્ટિકેશન તથા દસ્તાવેજ ચકાસણી માટે નિર્ધારિત દિવસોમાં એટલે કે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે જામનગર ખાતે આવેલ GST સેવાકેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે. આ કેન્દ્ર ખાતે નવા GST નોંધણી માટે ઓનલાઈન અરજી કરનાર કરદાતાઓને અરજી બાદ તેમના આધાર કાર્ડની ઓથેન્ટિકેશન પ્રક્રિયા તથા સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરાશે. જેથી નોંધણી પ્રક્રિયામાં વિલંબ ટાળી શકાય અને ખોટી નોંધણી અટકાવી શકાય. આ સુવિધા દ્વારા વેપારીઓ, ઉદ્યોગકારો તથા સામાન્ય જનતાને માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ થશે અને GST નોંધણી પ્રક્રિયા વધુ સુગમ બનશે. તમામ પાત્ર વ્યક્તિઓને આ સુવિધાનો લાભ લેવા તેમજ પૂછપરછ અથવા માર્ગદર્શન માટે ધારા પરીખ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનો સંપર્ક (નં. 9714506560) કરવા નાયબ રાજ્ય વેરા કમિશનર, વર્તુળ-24, જામનગરએ જણાવ્યું છે. બોગસ પેઢીમાં બીલીંગ કૌભાંડ પકડાયું'તું જામનગર શહેરમાં થોડા દિવસો પહેલા જ એક સીએ દ્વારા બોગસ પેઢીઓમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેથી શહેરમાં તેમજ વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જામનગરમાં અવાર-નવાર બોગસ પેઢીઓ ખોલીને કૌભાંડો આચરવામાં આવતું હોવાનું સામે આવે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સાસંદ અને DDOને આવેદન અપાયું:જિલ્લામાં ટીએલઈ,મેનપાવર અને 15માં નાણાંપંચમાં ફરજ બજાવતા કર્મચારીઓને નોકરી પરથી છુટા કરતા ભારે રોષ

અમરેલી જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી ઈગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ ટી.એલ.ઈ, મેનપાવર, 15માં નાણાંપંચમાં ફરજ બજાવતા કર્મચારીઓ 2007થી નોકરી કરી રહ્યા છે. જેમને આગામી તારીખ 1 ફેબ્રુઆરીથી એકા એક છુટા કરવામા આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ તકે અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા ઈગ્રામના તમામ કર્મચારીઓએ રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલીના સાસંદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 19વર્ષથી અમરેલી જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ ઈગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત TLE, મેનપાવર, 15FCના CE, TA પોસ્ટ ઉપર સંપૂર્ણ નિષ્ઠા, ઈમાનદારી અને જવાબદારી સાથે ફરજ બજાવતા આવ્યા છે. બે દાયકા દરમિયાન અમોએ માત્ર નોકરીરૂપે નહિ પરંતુ સરકારની મહત્વપૂર્ણ ડિજિટલ યોજના પ્રત્યે સેવા ભાવનાથી કાર્ય કર્યું છે. ગ્રામ પંચાયત સ્તરે ઈ ગવર્નન્સની કામગીરી, નાગરિકોને ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવી, ઓનલાઈન પ્રમાણપત્રો, વિવિધ સરકારી યોજનાઓની અમલવારી, ટેકનિકલ સહાય અને ગ્રામ્ય જનતાને માર્ગદર્શન તેમજ ઓફિસની તમામ પ્રકારની કામગીરી મર્યાદિત સાધનો અને વ્યક્તિગત મુશ્કેલીઓ વચ્ચે પણ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તાજેતરમાં આ કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવા અંગે પત્ર પાઠવવામાં આવ્યા છે. જેના કારણે આ કાર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ફરજ પરથી છૂટા કરવાની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે તેવી કર્મચારીઓએ માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સાવજના લટારથી લોકોમાં વ્યાપ્યો ભય:જાફરાબાદના સરોવડામાં સાવજોએ વાછરડાનું મારણ કર્યું, બજારમાં સાવજોના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

જાફરાબાદના સરોવડામાં ફરી એકવાર સિંહોની લટારથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામની બજારમાં સાવજોના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. શિકારની શોધમાં આવેલા સિંહે એક વાછરડાની પાછળ દોટ લગાવતા ગાયે પણ વાછરડાને બચાવવા સિંહ સામે દોટ લગાવી હતી. આ દરમિયાન બજાર વિસ્તારમાં સિંહો અને ગાયો વચ્ચે થયેલી દોડધામ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સિંહે ગામની અંદર જ વાછરડાનો શિકાર કર્યો હતો. શિકાર કર્યા બાદ સિંહ મૃત વાછરડાને ગામની બહાર લઈ ગયો હતો. સિંહના શિકાર અને ગામમાં પશુઓમાં થયેલી અફરાતફરીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે સરોવડામાં સાવજોના આંટાફેરાથી વન વિભાગ પેટ્રોલીંગ વધારે તેવી ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

વેધર રિપોર્ટ:અમરેલીમાં ન્યુનત્તમ તાપમાનમાં સતત વધારો થતા ઠંડીમાં ઘટાડો

અમરેલીમાં ન્યુનત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તેમજ આજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 25મી જાન્યુઆરી સુધી કેટલાક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહેવા અને ક્યાંક ક્યાંક વરસાદ પડવાની આગાહી કરી છે. અમરેલીમાં છેલ્લા બે દિવસથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. આ સાથે આજે અમરેલીમાં ન્યુનત્તમ તાપમાનનો પારો 14.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો 31.5 ડિગ્રી રહ્યો હતો. જ્યારે હવામા ભેજનું પ્રમાણ 84 ટકા રહ્યું હતું. તેમજ પવનની ગતિ પ્રતિ કલાક 1.8 કિ.મીની રહી હતી. આજે અમરેલી શહેરમાં પવનની ગતિ વધારે રહી હતી. ઉત્તરાયણ બાદ અમરેલીમાં પ્રથમ વખત ન્યુનત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી નજીક પહોંચ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ફરિયાદ:હિંમતનગરમાં યુવકને બંદૂક બતાવી મારી નાખવાની ધમકી

હિંમતનગરના હસનનગર ન્યાયમંદિર વિસ્તારમાં રહેતા યુવકને જૂના સંબંધોની અદાવતમાં રસ્તામાં રોકી બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી વારીસહુસેન મહેમુદમીયા કાદરી (30), જેઓ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. તેમણે અયાઝ અનવરહુસેન સૈયદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત 10 ઓગસ્ટ 2025ના રોજ આરોપીએ વારીસહુસેનને ફોન કરી તે મારી પત્ની સાથે કેમ વાત કરી હતી? તેમ કહી બંદૂકની ગોળી મારી દેવાની ધમકી આપી હતી. બે મહિના પહેલા, જ્યારે ફરિયાદી આર.જે. કોમ્પ્લેક્સ પાસે ઉભા હતા, ત્યારે આરોપી અયાઝે આવીને જાહેરમાં બંદૂક બતાવી તેમને મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ગત 18 જાન્યુઆરીના રોજ ન્યાયમંદિર વિસ્તારમાં આરોપીએ ફરિયાદીના પિતાની હાજરીમાં પણ બિભત્સ ભાષાનો પ્રયોગ કરી ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સીઆર પાટીલે ઉદ્ધાટન કરેલો 34 કરોડનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન:બ્રિજ ઉતરતા જ રસ્તો બંધ, વાહનચાલકો યુ-ટર્ન લેવા મજબૂર; કનેક્ટિંગ રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજનું 56 ટકા કામ અધૂરું

સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે ભેસ્તાન પાસે 34 કરોડના ખર્ચે એક નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ અત્યારે શહેરીજનો માટે મજાક સમાન બની ગયો છે. વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર વાહનચાલકો 600 મીટરના બ્રિજના એક છેડેથી ચઢીને બીજા છેડે ઉતરે તો છે પરંતુ ત્યાંથી તેમને પાછા ફરવું પડે છે. આ પાછળનું કારણ એવું છે કે, તંત્ર દ્વારા તૈયાર કરાયેલા બ્રિજનું ઉદ્ધાટન તો કરી દેવાયું પરંતુ બ્રિજની સામે રેલવે લાઈન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી. જેના કારણે વાહનચાલકો 600 મીટરો બ્રિજ ક્રોસ કર્યા પછી અટવાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, આ દૃશ્યો જોઈને એવું લાગે છે કે, જાણે બાળકો બગીચામાં લપસણી ખાવા દાદર ચઢીને આવે છે અને ત્યાંથી નીચે ઊતરીને ફરી પાછા લપસણી ખાવા આવી જાય છે. રેલવે ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ બ્રિજ હાલ માત્ર 'શોભાના ગાંઠિયા' જેવો સાબિત થઈ રહ્યો છે. સિદ્ધાર્થનગર રેલવે બ્રિજનું કામ હજુ પણ 56 ટકા અધૂરુંજો આ રેલવે બ્રિજ સમયસર બની ગયો હોત તો વેસુને નેશનલ હાઈવે નંબર 48 સાથે સીધું જોડાણ મળ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ડિંડોલી અને લિંબાયત વિસ્તારના અંદાજે 5 લાખ લોકોને ડુમસ, વેસુ અને અલથાણ પહોંચવા માટે ઘણી સરળતા રહે તેમ હતી. પરંતુ કમનસીબી એ છે કે, સિદ્ધાર્થનગર રેલવે બ્રિજનું કામ હજુ પણ 56 ટકા જેટલું અધૂરું છે. તંત્રની આ ધીમી ગતિને કારણે લાખો લોકોની સુવિધા અત્યારે હવામાં લટકી રહી છે. 59 કરોડના ખર્ચે તૈયાર થતો પ્રોજેક્ટ 74 કરોડ ખર્ચ્યા છતાં અધૂરોવર્ષ 2019માં જ્યારે આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે આશા હતી કે, અઢી વર્ષમાં કામ પૂરું થઈ જશે. પરંતુ આજે સાત વર્ષ વીતી ગયા હોવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. આ વિલંબને કારણે પાલિકાની તિજોરી પર પણ આર્થિક ફટકો પડ્યો છે. જે પ્રોજેક્ટનો મૂળ ખર્ચ 59 કરોડ રૂપિયા હતો. તે વિલંબના કારણે વધીને હવે 74 કરોડ સુધી પહોંચી ગયો છે. આમ, જનતાના પરસેવાના 15 કરોડ રૂપિયા માત્ર તંત્રની બેદરકારીને કારણે વધારે ખર્ચાયા છે. સી.આર. પાટીલ દ્વારા બ્રિજનું ઉદ્ધાટન કરાયું23 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા આ બ્રિજનું ઉદ્ધાટન તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકો માટે આ માત્ર એક 'ફોટો ઓપોર્ચ્યુનિટી' જેવું છે. બ્રિજ ઉતર્યા પછી તુરંત ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે આયોજનમાં કેટલી મોટી ખામી છે. લોકો ઉમંગભેર બ્રિજ પર ચઢે છે તો ખરા, પણ અંતે રેલવે ટ્રેક જોઇને નિરાશ થઈ યુ-ટર્ન લે છે. શું માત્ર વાહવાહી મેળવવા માટે જ આવા અધૂરા આયોજન સાથે ઉદ્ધાટન કરાયું? રેલવે ફ્લાયઓવરનું કામ લાંબા સમયથી બંધ?સ્થળ પરની સ્થિતિ જોતા સ્પષ્ટ જણાય છે કે, નિર્માણધીન રેલવે ફ્લાયઓવરનું કામ લાંબા સમયથી બંધ હાલતમાં છે. રેલવે ટ્રેક પસાર કરવા માટે કોઈ પુલ ન હોવાથી કેટલાક જોખમી દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. લોકો સાયકલ લઈને કે પગપાળા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે, જે ગમે ત્યારે જીવલેણ અકસ્માત નોતરી શકે છે. વહીવટી તંત્ર દ્વારા આ જોખમ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હોય તેવું સ્પષ્ટપણે અહીં દેખાઈ રહ્યું છે. રેલવે ક્રોસિંગ બ્રિજનું કામ પૂર્ણ કરવા સ્થાનિકોની માગસ્થાનિક રહીશોની એક જ માગ છે કે, વહેલી તકે રેલવે ક્રોસિંગ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે જેથી આ લપસણી જેવો બ્રિજનો સાચો ઉપયોગ થઈ શકે. કરોડોના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ અત્યારે તો માત્ર કાગળ પર જ વિકાસની વાતો કરે છે. વાસ્તવમાં તે લોકોના સમય અને ઈંધણ બગાડવાનું સાધન બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર જાગે છે કે પછી આ 600 મીટરનો ટુકડો હજુ કેટલા વર્ષો સુધી આમ જ બિનઉપયોગી રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:05 am

મગરને લાકડીથી ક્રૂરતાપૂર્વક માર માર્યો, VIDEO:વડોદરાના ચોરભુજ ગામે મગરને મોતને ઘાટ ઉતારી તળાવમાં ફેંક્યો, વન વિભાગે બે આરોપીની ધરપકડ કરી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામાં એક અત્યંત ક્રૂર અને નિર્દય ઘટના સામે આવી છે. અહીં સ્થાનિક લોકોએ એક મગરને નિર્દયતાપૂર્વક મારી નાખ્યો છે. આ ઘટનામાં વન વિભાગે બે આરોપીની ધરપકડ કરી બંનેને જેલ ભેગા કરી દીધા છે. મગરને લાકડીઓથી ક્રૂરતાપૂર્વક માર માર્યોઆ ઘટના રાત્રિ દરમિયાન બની હતી. બે લોકોએ મળીને મગરને લાકડીઓ વડે ખૂબ જ બેરહમીથી માર માર્યો હતો અને ત્યારબાદ તેને તળાવમાં ફેંકી દીધો હતો. આ ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વીડિયો વાઇરલ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી છે. વન અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. બે આરોપીની ધરપકડ કરી જેલ ભેગા કર્યાકરજણ RFO જયેશ રાઠોડે જણાવ્યું હતું કે, મગરને મારી નાખવાનો ઘટનામાં અમે ચોરભુજ ગામના બે આરોપી વિઠ્ઠલભાઈ કાભઈભાઈ નાયક અને બિપિનભાઈ રાયજીભાઈ નાયકની ધરપકડ કરી છે. આ બંનેની ધરપકડક કરીને કરજણ સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. મગરના મૃતદેહને રિકવર કરી પોસ્ટમોર્ટમ કરાવ્યુંતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ચોરભુજ ગામની બાજુમાં જે તળાવ છે, તેમાંથી મગર બહાર આવ્યો હતો. ત્યાં હાજર કેટલાક લોકોએ ઉશ્કેરાઈને મગરને ડંડા વડે માર માર્યો હતો અને તેમાં મગરનું મોત થયું હતું. જેથી તેને ફરીથી તળાવમાં ધકેલી દીધો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ અમે તપાસ કરી અને આ બંને આરોપીઓની ઓળખ કરી હતી. બંને ચોરભુજ ગામમાં ખેત મજૂરી કરે છે. અમે મગરનો મૃતદેહ રિકવર કરી છે અને તેનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે. વન્યજીવોને નુકસાન પહોંચાડવા બદલ 3થી 7 વર્ષની જેલતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મગર એ શેડ્યુલ-1નું પ્રાણી છે. આ કાયદા હેઠળ વન્યજીવોને નુકસાન પહોંચાડવા બદલ 3 થી 7 વર્ષ સુધીની જેલ અને નવા નિયમો મુજબ 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ એક બિન-જામીનપાત્ર ગુનો છે. અમે આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરીશું અને કોર્ટ સમક્ષ રજૂ કરીશું. હવે કોર્ટ જ આ અંગે અંતિમ સજા નક્કી કરશે. વન વિભાગ દ્વારા તમામ પુરાવા અને આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોઉલ્લેખનીય છે કે મગર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત પ્રાણી છે અને તેની હત્યા ગંભીર ગુનો ગણાય છે. આ ઘટના વન્યજીવો પ્રત્યેની માનવીય ક્રૂરતા અને જાગૃતિના અભાવને દર્શાવે છે. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરેમગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? આ સમાચાર પણ વાંચો લોખંડની સાંકળથી કૂતરાને બાંધ્યા, ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર ક્રૂરતા14 જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક આવેલ ચિખોદરા પાસે ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર થઈ રહેલ ક્રૂરતાનો પર્દાફાશ થયો છે. લોખંડની સાંકળથી કૂતરાને બાંધી રાખ્યા હતા, ભોજન પણ આપતો નહોતો. જેને પગલે કપુરાઇ પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:05 am

દાહોદ-હિંમતનગર ST બસમાં મુસાફરનું આકસ્મિક મોત:ગોધરા નજીક પરવડી બાયપાસ પાસે બની ઘટના

દાહોદથી હિંમતનગર જતી ST બસમાં મુસાફરી દરમિયાન એક આધેડ મુસાફરનું આકસ્મિક મોત થયું છે. આ ઘટના ગોધરા નજીક પરવડી બાયપાસ પાસેથી બસ પસાર થઈ રહી હતી ત્યારે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 45 વર્ષીય જસવંતસિંહ પરમાર નામના મુસાફર બસની સીટ પર બેઠા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. બસમાં હાજર અન્ય મુસાફરો અને કંડક્ટરે તરત જ દરમિયાનગીરી કરી હતી. મુસાફરની ગંભીર હાલત જણાતા બસને તાત્કાલિક પરવડી નજીક થોભાવી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. મૃતક મુસાફરની ઓળખ જસવંતસિંહ પરમાર (ઉંમર 45) તરીકે થઈ છે. તેઓ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હીરાપુર ગામના વતની હતા અને દાહોદથી બાયડ તરફ જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જસવંતસિંહના મૃતદેહને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 11:37 pm

IND Vs NZ: ભારતે બીજી T20માં પણ ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ઈશાન-સૂર્યાની તોફાની બેટિંગ, સીરિઝમાં 2-0ની આગળ

IND Vs NZ LIVE Update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા, કેપ્ટન મિચેલ સેન્ટનરે અણનમ 47 રન તો રચિન રવીન્દ્રએ 26 બોલમાં 44 રન ફટકાર્યા હતા, અર્શદીપ સિંહે મોંઘો સાબિત થયો હતો તેને 4 ઓવરમાં 53 રન અપાવ્યા હતા, એક પણ વિકેટ મળી ન હતી, બીજી તરફ કુલદીપ યાદવે 2 વિકેટ ખેરવી હતી. તો હાર્દિક પંડયા, વરુણ અને હર્ષિત રાણાએ એક-એક વિકેટ ઝડપી હતી. ઈશાન કિશને 32 બોલમાં 76 રન ફટકાર્યા 209 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ટીમ ઈન્ડિયા અભિષેક શર્મા અને સંજૂ સેમસનની જોડી ઉતરી હતી પણ બંને ઓપનર બેટ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

ગુજરાત સમાચાર 23 Jan 2026 10:32 pm

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ.એ નિર્ણય પાછો ખેંચ્યો:ગુજરાત હાઇકોર્ટે એક અરજી સંદર્ભમાં અંગ્રેજી વિભાગના વડા તરીકે કેમિસ્ટ્રી પ્રોફેસરની નિમણૂક પર પ્રશ્ન ઉઠાવ્યો

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંગ્રેજી વિભાગના ઇન્ચાર્જ વડા તરીકે કેમિસ્ટ્રીના પ્રોફેસરની નિમણૂક કરવાના નિર્ણય પર ગુજરાત હાઇકોર્ટે કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટના પ્રશ્નોત્તર બાદ યુનિવર્સિટીએ આ નિર્ણય પાછો ખેંચ્યો છે. કેમિસ્ટ્રી વિભાગની ફેકલ્ટીને અંગ્રેજી વિભાગના ઇન્ચાર્જ HOD નિયુક્ત કર્યાઆ કેસમાં અંગ્રેજી વિભાગના પૂર્વ વડા આદેશ પાલના ગયા વર્ષના જૂનમાં નિવૃત્ત થયા બાદ યુનિવર્સિટીએ કેમિસ્ટ્રી વિભાગની ફેકલ્ટી સભ્ય કોકિલાબેન પરમારને અંગ્રેજી વિભાગના ઇન્ચાર્જ HOD તરીકે નિયુક્ત કર્યા હતા. આ નિર્ણય અંગ્રેજી વિભાગની ફેકલ્ટી સભ્ય હેતલ પટેલને સ્વીકાર્ય લાગ્યો નહોતો. તેમણે કેમિસ્ટ્રી શિક્ષકને અંગ્રેજી વિભાગના ઇન્ચાર્જ વડા તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને પડકારતા એજ્યુકેશન ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. ફેકલ્ટી સભ્યોની સિનિયોરિટી હજી નક્કી થવાની બાકીHNGUના વકીલ મીત શાહે યુનિવર્સિટીના નિર્ણયનું સમર્થન કરતાં રજૂઆત કરી હતી કે, અંગ્રેજી વિભાગના ફેકલ્ટી સભ્યોની સિનિયોરિટી હજી નક્કી થવાની બાકી છે. વધુમાં કોકિલાબેન કેમિસ્ટ્રી શિક્ષક હોવા છતાં તેમને માત્ર વિભાગની વહીવટી કામગીરી સંભાળવાની જવાબદારી આપવામાં આવી હતી. તેમણે ટ્રિબ્યુનલમાં હેતલ પટેલની અરજી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ સેવા સંબંધિત મુદ્દો નથી, પરંતુ માત્ર યુનિવર્સિટીની તાત્કાલિક વહીવટી વ્યવસ્થા છે. હાઇકોર્ટે ટ્રિબ્યુનલના આદેશ પર સ્ટે આપ્યો હતોપરંતુ ટ્રિબ્યુનલે 10 ઓક્ટોબર, 2025ના રોજ HNGUના આ નિર્ણય પર સ્ટે આપ્યો હતો. કોકિલાબેને ટ્રિબ્યુનલ દ્વારા તેમને સાંભળ્યા વિના સ્ટે આપ્યો હોવાના આધારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. એક અઠવાડિયા બાદ હાઇકોર્ટે ટ્રિબ્યુનલના આદેશ પર સ્ટે આપ્યો હતો. યુનિવર્સિટીએ નિયમોનું ઉલ્લંઘન કર્યુંયુનિવર્સિટીએ પણ ટ્રિબ્યુનલના નિર્ણયને પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે અંગ્રેજી વિભાગની ફેકલ્ટી સભ્ય હેતલ પટેલની અરજી સેવા સંબંધિત મુદ્દો ન હોવાથી ટ્રિબ્યુનલને તેને સાંભળવાનો અધિકાર નથી. હેતલ પટેલના વકીલે દલીલ કરી હતી કે યુનિવર્સિટીએ નિયમોનું ઉલ્લંઘન કરીને કેમિસ્ટ્રી ફેકલ્ટી સભ્યને ઇન્ચાર્જ HOD બનાવ્યા અને તેમને અવગણ્યા હતાં. યુનિવર્સિટી પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપી શકી નહોતીહાઇકોર્ટે યુનિવર્સિટીને પ્રશ્ન કર્યો હતો કે કેમિસ્ટ્રીનો શિક્ષક અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થીની શૈક્ષણિક સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકે? યુનિવર્સિટી આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપી શકી નહોતી અને કહ્યું હતું કે કોકિલાબેનની ભૂમિકા માત્ર વહીવટી નિર્ણયો સુધી મર્યાદિત છે. છતાં, કોર્ટે સતત પ્રશ્ન કર્યો કે વિષયમાં નિષ્ણાત ન હોય એવો HOD વિદ્યાર્થીને કેવી રીતે મદદ કરી શકે ? હાઇકોર્ટના સ્ટે આદેશને કારણે કોકિલાબેનને બદલી શકતી નહોતીયુનિવર્સિટીએ ડ્રાફ્ટ આદેશ રજૂ કર્યો હતો, જેમાં કેમિસ્ટ્રી શિક્ષકને બદલીને અંગ્રેજી વિભાગના ફેકલ્ટી સભ્ય તપલ ચક્રવર્તીને ઇન્ચાર્જ HOD બનાવવાનો પ્રસ્તાવ હતો. યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે હાઇકોર્ટના સ્ટે આદેશને કારણે તે કોકિલાબેનને બદલી શકતી નહોતી. જો કે હેતલ પટેલે આ પ્રસ્તાવ પર પણ નિયમો અને સિનિયોરિટીના મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. યુનિવર્સિટીએ પોતાની અરજીઓ પાછી ખેંચી લીધીHNGUના નવા નિર્ણય બાદ કોકિલાબેન અને યુનિવર્સિટીએ પોતાની અરજીઓ પાછી ખેંચી લીધી હતી. હેતલ પટેલ દ્વારા ચક્રવર્તીની પસંદગી સામે ઉઠાવવામાં આવેલી ફરિયાદ અંગે હાઇકોર્ટે કહ્યું હતું કે હેતલ પટેલ માટે કાયદા મુજબ યોગ્ય સત્તાધિકારી સમક્ષ આ મુદ્દો પડકારવાનો માર્ગ ખુલ્લો રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 10:13 pm

જામનગરના વૃદ્ધના હાડકાના અત્યંત દુર્લભ કેન્સરની સફળ સર્જરી:એઇમ્સ રાજકોટના નિષ્ણાંત ડોક્ટરોએ દર્દીનો પગ કાપવાથી બચાવી નવું જીવન આપ્યું

રાજકોટ સ્થિત એઇમ્સ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના 73 વર્ષના એક વૃદ્ધ દર્દીના પગમાં રહેલા હાડકાના અત્યંત દુર્લભ કેન્સરની જટિલ સર્જરી કરીને ડોક્ટરોએ તેમનો પગ બચાવી લીધો છે. એઇમ્સ રાજકોટમાં આ પ્રકારની પ્રથમ 'મેગા પ્રોસ્ટેસિસ રિપ્લેસમેન્ટ' સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. સામાન્ય રીતે આવી અત્યાધુનિક સર્જરી દેશના ગણ્યાગાંઠ્યા અને પસંદગીના કેન્સર કેન્દ્રોમાં જ ઉપલબ્ધ હોય છે, જે હવે રાજકોટ એઇમ્સમાં પણ શક્ય બની છે. 'પ્રાઇમરી નોન-હોજકિન્સ લિમ્ફોમા' નામનું અત્યંત દુર્લભ કેન્સર હતુંપ્રાપ્ત વિગત મુજબ જામનગરના 73 વર્ષીય દર્દી લાંબા સમયથી ઘૂંટણમાં અસહ્ય દુખાવો અને પગ પર વજન નહીં મૂકી શકવાની તકલીફથી પીડાતા હતા. આ ગંભીર ફરિયાદ સાથે તેઓ એઇમ્સની ઓ.પી.ડી. (OPD) માં તપાસ માટે આવ્યા હતા. ઓ.પી.ડી.માં વિવિધ રિપોર્ટ્સ અને નિદાન દરમિયાન માલુમ પડ્યું કે તેમના પગના હાડકાના ઉપરના ભાગમાં (પ્રોક્સિમલ ટિબિયા) 'પ્રાઇમરી નોન-હોજકિન્સ લિમ્ફોમા' નામનું અત્યંત દુર્લભ કેન્સર હતું. આ કેન્સરના કારણે હાડકામાં 'પેથોલોજિકલ ફ્રેક્ચર' પણ થયું હતું. અત્યાધુનિક 'લિમ્બ-સેલ્વેજ મેગા પ્રોસ્ટેસિસ' સર્જરીદર્દીની સ્થિતિ અને રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ તબક્કાવાર સારવારનું આયોજન કર્યું હતું. અને નિદાન બાદ સૌ પ્રથમ સારવારના ભાગરૂપે દર્દીને કીમોથેરાપી આપવામાં આવી હતી. કીમોથેરાપીનો કોર્સ પૂર્ણ થયા બાદ ગત 16 જાન્યુઆરીનાં રોજ 10 નિષ્ણાંત ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા અત્યાધુનિક 'લિમ્બ-સેલ્વેજ મેગા પ્રોસ્ટેસિસ' સર્જરી હાથ ધરવામાં આવી હતી. કેન્સરગ્રસ્ત હાડકાના ભાગને અત્યંત સાવચેતીપૂર્વક દૂર કરાયોઆ જટિલ ઓપરેશનમાં ઓર્થોપેડિક ઓન્કો સર્જન અક્ષત ગુપ્તા, ઓર્થોપેડિક સર્જન રવિ કુમાર અને અભિષેક કુમાર મિશ્રા, પ્લાસ્ટિક સર્જન નૂપુર અગ્રવાલ તેમજ એનેસ્થેટિસ્ટ સુમિત બંસલ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. સર્જરી દરમિયાન કેન્સરગ્રસ્ત હાડકાના ભાગને અત્યંત સાવચેતીપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ખાસ તૈયાર કરવામાં આવેલ 'મેગા પ્રોસ્ટેસિસ' (કૃત્રિમ સાંધો/હાડકું) બેસાડવામાં આવ્યો હતો. લિમ્બ-સેલ્વેજ ટેકનિકથી દર્દીનો પગ બચ્યોઆ સર્જરી એટલા માટે પણ મહત્વની છે કારણ કે અગાઉ આવા કિસ્સાઓમાં ઘણીવાર દર્દીનો આખો પગ કાપવાની નોબત આવતી હતી, પરંતુ લિમ્બ-સેલ્વેજ ટેકનિકથી દર્દીનો પગ બચાવી શકાયો છે. ઓપરેશન બાદ દર્દીની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો અને તેઓ સંપૂર્ણપણે સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દર્દીઓ માટે હવે આશાનું નવું કિરણ જાગ્યુંઉલ્લેખનીય છે કે, રાજકોટ એઇમ્સમાં મેજર સર્જરીની સફળતા બદલ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. ડૉ. એલ.એન. દોરૈરાજન, ડેપ્યુટી ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ અને મેડિકલ સુપ્રિડેન્ટ પ્રો. ડો. પિંકી સાહુએ સર્જરી કરનાર તબીબોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે રાજકોટમાં જ આવી અત્યાધુનિક સારવાર મળતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે હવે આશાનું નવું કિરણ જાગ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 10:02 pm

જબરદસ્ત તેજી : સોનાના ભાવમાં રૂ.4000 તો ચાંદીના ભાવમાં રૂ.12000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ

Today Gold and Silver Latest Price : વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને ભૌગોલિક તણાવની સીધી અસર ભારતીય કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે. આજે સવારના કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી નોંધાઈ છે. આજના દિવસ દરમિયાન સોનાના ભાવમાં 4000 રૂપિયાની, જ્યારે ચાંદીના ભાવમાં 12000 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. સોનાના ભાવમાં 4000 રૂપિયા સુધીની ઉથલપાથલ ફ્યૂચર સોનાનો ભાવ રાત્રે સાડા નવ વાગ્યા સુધીમાં 1,56,950 રૂપિયા પર પહોંચી ગયો છે.

ગુજરાત સમાચાર 23 Jan 2026 10:02 pm

પતિએ ઠપકો આપતા પત્નીએ ઝેર પીધુ:રાજકોટમાં મામા સાથે સગીરાને પ્રેમ સંબંધ બંધાતા માવતરે ઠપકો આપ્યો, ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 16 વર્ષની સગીરાએ સવારે 8 વાગ્યે પોતાના ઘેર ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને બનાવની જાણ પ્રદ્યુમનનગર પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સગીરાને તેના સગા મામા સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારને જાણ થતા પરિવારજનોએ સગીરાને ઠપકો આપ્યો હતો. જેનું માઠું લગાડી સગીરાએ ફિનાઈલ પી લીધું હતું હાલ તે સારવાર હેઠળ છે. પોલીસે સગીરાનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રસોડામાં તેલ ઢોળાતા પતિએ ઠપકો આપ્યો, પત્નીએ ઝેર પીધુ લીલાબેન કલ્પેશભાઈ રાઠવા (ઉં.વ.27) ગઈકાલે રાત્રે 9 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા પતિને જાણ થતા પ્રથમ પડધરી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજ્યું હતું. મૃતક લીલા ગઈકાલે રાત્રે ઘરે રસોડામાં તેલના ડબ્બામાંથી તેલ કાઢતી હતી ત્યારે તેલનો ડબ્બો હાથમાંથી છટકી જતા ડબ્બો ઊંધો વળી જતા અડધો ડબ્બો જેટલું તેલ ઢોળાઈ ગયુ હતું તે અંગે પતિએ ઠપકો આપ્યો હતો જેથી પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી આ પછી લીલાએ ઝેરી દવા પી લઇ મોત વ્હાલું કરી લીધું હતું. પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અહીં ખેત મજૂરી કરે છે. લીલાના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા તેને સંતાનમાં 1 પુત્ર છે. બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.માર્બલ પથ્થર માથે પડતા શ્રમિકનું મોતસત્યેન્દ્ર રામપ્રકાશ યાદવ (ઉં.વ.21) ગઈકાલે સાંજના 6 વાગ્યાં આસપાસ સ્પીડવેલ પાર્ટીપ્લોટથી પરસાણા ચોક વચ્ચે ઓર્બિટ કોમ્પ્લેક્સમાં કામ કરતો હતો ત્યારે માર્બલ પથ્થર કાઢવા જતા માર્બલ પથ્થરનો આખો થપ્પો તેની માથે પડતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની હોવાનું અને બે ભાઈ એક બહેનમાં નાનો હોવાનું સામે આવ્યું છે. તેને સંતાનમાં એક દીકરો છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. યુવકે ગળેફાંસો કર્યો આપઘાત વિપુલ નારણભાઈ સાંસકીયા (ઉં.વ.32) આજે બપોરે 12 વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ લેતા બેભાન અલકમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે જાણ કુવાડવા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક વિપુલભાઈ અગાઉ મજૂરી કામ કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઈ કામ ધંધો કરતા ન હતા અને તેઓ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા તેમને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે. આપઘાત અંગે ચોક્કસ કારણ સામે ન આવત પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બેટી રામપરા ગામે પુત્રએ પિતાના હાથ પગ ભાંગી નાખ્યા તળશીભાઈ વાઘાભાઈ ભાટી (ઉં.વ.50) ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ ઘરે હતા ત્યારે તેના દીકરા કાનાએ ઝઘડો કરી પાઇપ વડે માર મારતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમની એક દીકરી સમાજના યુવક સાથે જતી રહીં છે જેને પરિવાર શોધી રહ્યા છે જેથી ગઈકાલે પિતા પુત્ર બંને રાત્રે વાત કરતા હતા જેમાં પિતાએ સમાજના આગેવાનો સામે આ પ્રશ્ન લઇ જવા સલાહ આપી પણ પુત્ર તેમાં સહમત થયો નહીં જેથી બંને વચ્ચે ઝઘડો થયો જેમાં પુત્રએ બેફામ પિતાને પાઇપ વડે માર માર્યો હતો. તળશીભાઈ ભંગારનો વેપાર કરે છે. તેને સંતાનમાં 3 દીકરા અને 3 દીકરી છે. બનાવ અંગે એરપોર્ટ પોલીસે તેનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:51 pm

હવેથી વર્ગ-3ની ભરતી માટે કમ્બાઈન્ડ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે:ગ્રુપ-A અને B માટે અલગ મુખ્ય પરીક્ષા, વર્ગ-3ની ભરતી પરીક્ષા માટે નવા 'CCE નિયમો-2026' જાહેર

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગની ભરતી પરીક્ષા માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવેથી ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક સહિતના વર્ગ-3ની જગ્યાઓ પર ભરતી માટે નવો નિયમ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 22 જાન્યુઆરી, 2026ના રોજ ગૌણ સેવા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની જગ્યાઓ માટે 'ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) નિયમો, 2026' ની જાહેરાત કરવામાં આવી છે. નવા નિયમો મુજબ પરીક્ષા બે તબક્કામાં યોજાશે પ્રાથમિક પરીક્ષા (Preliminary Examination): ગ્રુપ-A અને ગ્રુપ-B ની તમામ જગ્યાઓ માટે એક સમાન પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા 150 ગુણની અને 2 કલાકની રહેશે, જેમાં ગુજરાતી (15 ગુણ), અંગ્રેજી (15 ગુણ), સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો (30 ગુણ), ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (30 ગુણ) અને રીઝનિંગ (60 ગુણ) ના હેતુલક્ષી પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. મુખ્ય પરીક્ષા (Main Examination): ગ્રુપ-A અને ગ્રુપ-B માટે અલગ-અલગ મુખ્ય પરીક્ષા લેવાશે. મેરિટ લિસ્ટપ્રાથમિક પરીક્ષા માત્ર સ્ક્રિનિંગ ટેસ્ટ તરીકે રહેશે, તેના ગુણ અંતિમ મેરિટમાં ગણવામાં આવશે નહીં. અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષાના ગુણોના આધારે કરવામાં આવશે. કયા હોદ્દાઓનો સમાવેશ?આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, સબ-રજિસ્ટ્રાર, ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ્સ સહિત અનેક વર્ગ-3 પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સચિવાલય, જિલ્લા કલેક્ટર કચેરીઓ, પંચાયત સેવા પસંદગી મંડળ હેઠળની કચેરીઓ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આ નિયમો લાગુ પડશે. ઉંમર અને લાયકાતઉમેદવારે ઓછામાં ઓછા 20 વર્ષ પૂર્ણ કર્યા હોવા જરૂરી છે. મહત્તમ ઉંમર સંબંધિત ભરતી નિયમો મુજબ રહેશે. શૈક્ષણિક લાયકાત પણ સંબંધિત વિભાગના ભરતી નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે. પ્રિફરન્સ અને ફાળવણીમુખ્ય પરીક્ષા બાદ દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવારે વિભાગ/હોદ્દાની પસંદગી આપવાની રહેશે. એકવાર આપેલી પ્રિફરન્સ અંતિમ ગણાશે અને પછી ફેરફાર મંજૂર નહીં થાય. મેરીટ ક્રમ અને ખાલી જગ્યાઓના આધારે ફાળવણી કરવામાં આવશે. 2023ના જૂના નિયમો રદનવા નિયમો લાગુ થતાં 2023ના કમ્બાઇન્ડ પરીક્ષા નિયમો રદ કરવામાં આવ્યા છે. જો કે જૂના નિયમો હેઠળ શરૂ થયેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ ગણાશે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે હવે એકજ પરીક્ષા દ્વારા વિવિધ વિભાગોમાં ભરતીની તક મળશે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:45 pm

આગિયોલમાં વસંતપંચમીએ રામદેવપીર મંદિરે મેળો:56 ભોગનો અન્નકૂટ, શ્રદ્ધાળુઓએ તુલાદાન કર્યું

હિંમતનગરના આગિયોલમાં આવેલા રામદેવપીર મંદિરે વસંત પંચમી નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામદેવપીર ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેની બપોરે વિશેષ આરતી કરવામાં આવી હતી. મેળામાં 100 થી વધુ વેપારીઓએ વિવિધ સ્ટોલ લગાવ્યા હતા. સ્થાનિક અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારથી બપોર સુધીમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓએ પોતાની માનતા પૂર્ણ થતાં રામદેવપીરના જયઘોષ સાથે સાકર, પેંડા અને ગોળનું તુલાદાન કર્યું હતું. નાના બાળકોથી લઈને વૃદ્ધોએ પણ આ તુલાદાનમાં ભાગ લીધો હતો. દર વર્ષે વસંત પંચમીના દિવસે આ મંદિરે મેળો ભરાય છે, જેમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. સામાન્ય રીતે આ દિવસે આશરે 300 જેટલા શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરે છે. ઘણા ભક્તો શ્રદ્ધાપૂર્વક પગપાળા ચાલીને રામદેવજીના દર્શન કરવા આવે છે.ઉલ્લેખનીય છે કે આ મંદિરે ભાદરવા માસમાં નોમના દિવસે નેજા ઉત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જે આ મંદિરની એક વિશેષ પરંપરા છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:45 pm

સુરેન્દ્રનગરમાં NSUI દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ:સીયુશાહ મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ શપથ લીધા

ગુજરાત NSUI દ્વારા 'ડ્રગ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર NSUI અને સી.યુ. શાહ મેડિકલ કોલેજ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના દુષ્પરિણામો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન જીવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહી સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં NSUI ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સચિવ ઋત્વિકભાઈ મકવાણા, ગુજરાત કોંગ્રેસ ડેલિગેટ ધર્મેન્દ્રસિંહ પરમાર, સુરેન્દ્રનગર NSUIના પ્રમુખ યશપાલસિંહ પરમાર, સી.યુ. શાહ મેડિકલ કોલેજના ડિરેક્ટર ડૉ. શ્યામ શાહ અને ડીન ડૉ. સંજય મેહતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ઉત્સાહજનક હાજરી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:45 pm

રાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવાયો, કલેક્ટરે સશક્તીકરણ પર ભાર મૂક્યો:લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અપાયા

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકારની ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે લાભાર્થીઓને ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમોનું વિતરણ કર્યું. આ ઉપરાંત, ‘દીકરી વધામણા કીટ’, વિદ્યાર્થીનીઓ માટે એજ્યુકેશન કીટ અને હાઈજિન કીટ પણ આપવામાં આવી હતી. કલેક્ટર ઉપાધ્યાયે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણીનો મુખ્ય હેતુ દીકરીઓને સમાજમાં યોગ્ય અને મહત્વપૂર્ણ સ્થાન અપાવવાનો, તેમના અધિકારોનું સંરક્ષણ કરવાનો તથા શિક્ષણ સહિતની તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે ઉમેર્યું કે, દીકરીઓના સશક્તીકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે, જેનો લાભ દરેક નાગરિકોએ લેવો જોઈએ. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સોનલબહેન રાઠોડ, મહિલા અને બાળ વિકાસ અધિકારી એમ.જી. વારસુર, ઈણાજ બાલિકા પંચાયતના સભ્યો અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, બાલિકાઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને લોકશાહીની પ્રક્રિયાની સમજ મળે તે હેતુથી રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના કરવામાં આવી છે. દીકરીઓને લોકશાહીનો પાઠ ભણાવતું આ બાલિકા પંચાયત મોડેલ અમલમાં મૂકનાર ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રણી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:41 pm

ભરૂચમાં ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, ચોરાયેલા તમામ વાહનો રિકવર કરાયા

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસે ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ભરૂચ શહેર, નબીપુર અને પાલેજ વિસ્તારમાંથી ચોરાયેલા તમામ વાહનો રિકવર કર્યા છે. આ મામલે 19 જાન્યુઆરીના રોજ મકતમપુરના રફીયુદીન સમશુદીન સૈયદે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીની રાત્રે મીરા ઓટો કન્સલ્ટ પાસે પાર્ક કરેલી તેમની ઇકો કાર ચોરાઈ ગઈ હતી. ફરિયાદ બાદ પોલીસને બાતમી મળી હતી કે ચોરાયેલી ઇકો કાર ભોલાવ કોલેજ રોડ પર જેપ્સન કંપની નજીકથી શીતલ સર્કલ તરફ પસાર થવાની છે. પોલીસે વોચ ગોઠવી કારને રોકી તેમાં સવાર બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ વસીમ ઈરફાનભાઈ મલીક (રહે. પાલેજ) અને રીયાઝખાન શકીલખાન પઠાણ જણાવ્યું હતું. તેમણે મીરા ઓટો કન્સલ્ટ ખાતેથી ઇકો કાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, નબીપુર ચોકડી બ્રિજ નીચે અને પાલેજ નવી નગરી વિસ્તારમાંથી પણ અન્ય ઇકો કાર ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓની માહિતીના આધારે તમામ ચોરાયેલી ઇકો કારો, એક છૂટી પાડેલી ઇકો અને ચોરીમાં ઉપયોગ કરાયેલ બર્ગમેન મોપેડ સહિત કુલ 7,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:38 pm