SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

ઠારમાં થરથરતું કચ્છ:નલિયામાં છઠ્ઠા દિવસે લઘુતમ તાપમાન એક આંકમાં

કચ્છમાં હાડ થીજવતી ઠંડીએ જનજીવન પ્રભાવિત કર્યું છે વહેલી પરોઢ અને રાત તો ઠીક બપોરે પણ ગરમ કપડાં પહેરીને બહાર નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.હવામાન વિભાગના આંકડા મુજબ ગુરૂવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 9 ડીગ્રી નોંધાયું હતું. છેલ્લા અઠવાડિયાથી નલિયામાં સિંગલ ડિજિટ તાપમાન છે આ સિવાય નોંધપાત્ર બાબત એ રહી કે,ભુજમાં દિવસ પણ ઠર્યો હતો કારણકે આખા રાજ્યમાં સૌથી ઓછુ મહત્તમ તાપમાન 24.3 ભુજમાં નોંધાયું છે.હવામાન વિભાગના મતે ઉત્તરાયણ સુધી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. લઘુતમ તાપમાનમાં કચ્છમાં ભુજ 10.2, કંડલા પોર્ટ 13 અને કંડલા એરપોર્ટમાં 10.4 ડીગ્રી નોંધાયું હતું. સવારે ઠંડીથી સ્ફુલોમાં જતા વિદ્યાર્થીઓ થરથરે છેભુજ સહિત સમગ્ર વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધતાં સવારની પાળીની સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સવારની પાળીની સ્કૂલોનો સમય હાલ સવારે 8 થી બપોરે 12.30 વાગ્યા સુધીનો છે, પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્કૂલ બસ, રિક્ષા અથવા છકડા વેન મારફતે આવતાં-જતાં હોવાથી તેમને વહેલી સવારે તૈયાર થવું પડે છે. સવારના વહેલા સમયે ઠંડીની તીવ્રતા વધુ હોય છે. ઠંડા પવન અને ઓછી તાપમાન વચ્ચે નાના બાળકો શાળા સુધી પહોંચતાં થરથરતાં જોવા મળે છે. ઘણા વિદ્યાર્થીઓને ઠંડીથી બચવા માટે બે સ્વેટર પહેરવાની ફરજ પડે છે, ઠંડીના માહોલમાં સવારની પાળીની સ્કૂલોનો સમય હજુ પણ અડધો કલાક મોડો કરવાની માગણી વાલીઓ તરફથી ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:20 am

સરહદની સુરક્ષા વધુ મજબૂત માટે ખાસ આયોજન:કચ્છના રણમાં આર્મી અને બીએસએફ દ્વારા માઇન લેઇંગ ટ્રેનિંગ

કચ્છના સંવેદનશીલ રણ અને ક્રીક વિસ્તારોમાં સરહદની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા બીએસએફના જવાનો સાથે મળી મિશન માઈન લેઇંગ ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. આ સંયુક્ત તાલીમમાં સરહદી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રક્ષણાત્મક રણનીતિ, ટેક્નિકલ કુશળતા અને મેદાની પડકારોને સામનો કરવાની તૈયારી પર વિશેષ ભાર મૂકાયો હતો. તાલીમ દરમિયાન માઈન-લેયિંગ પ્રક્રિયા અને સંકલિત કામગીરીનો અભ્યાસ કરાયો હતો. આ અભ્યાસથી રણ અને ક્રીક સેક્ટરોમાં કટોકટીની સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત થશે. નોંધનીય છેકે યુદ્ધ અથવા આકસ્મિક પરિસ્થિતિઓમાં દુશ્મન આગળ વધે નહીં તે માટે સરહદી વિસ્તારોની જમીનમાં સુરક્ષિત રીતે માઇન મૂકવાની અને જરૂરી સમયે તેને નિષ્ક્રિય કરવાની તાલીમને માઇન લેઇંગ ટ્રેનિંગ કહેવાય છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:18 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:નંદગામ પાસે ગેસ ભરેલું ટેન્કર આગળના વાહનમાં અથડાતા ચાલકનું સ્થળ પર મોત

ભચાઉના નંદગામ પાસે આવેલા પેટ્રોલ પંપ સામે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રોપેઇન ગેસ ભરેલા ટેન્કર અને અન્ય વાહન વચ્ચે થયેલા આ અકસ્માતમાં ટેન્કરનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા ભચાઉ ફાયર વિભાગની ટીમે અત્યંત કાળજીપૂર્વક ઓપરેશન પાર પાડી ફસાયેલા ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આજે તારીખ 08/01/2026ના રોજ પરોઢે આશરે 3:12 વાગ્યે 112 પર કોલ મળતા ભચાઉ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત ટેન્કર પ્રોપાઈન ગેસથી સંપૂર્ણ ભરેલું હતું. જોખમ એ વાતનું હતું કે આજુબાજુ પણ ગેસ ભરેલા અન્ય ટેન્કરો ઉભા હતા. જો બચાવ કામગીરી દરમિયાન સહેજ પણ ઘર્ષણ થાત કે ગેસ લિકેજ હોત તો મોટો વિસ્ફોટ થઈ શકે તેમ હતો. ફાયર ટીમે સૌથી પહેલા આજુબાજુના ટેન્કરોને દૂર કરાવી સુરક્ષિત અંતર જાળવ્યું હતું.ટેન્કરની કેબિનમાં ખરાબ રીતે ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે ફાયર ફાયટર પ્રવીણ દાફડા અને શક્તિ સિંહની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની જહેમત બાદ ડ્રાઈવરની બોડીને બહાર કાઢવામાં આવી હતી. આ તકે સ્થાનિક પોલીસ સ્ટાફ, ટોલ પ્લાઝાની ટીમ અને 108 એમ્બ્યુલન્સની સેવા પણ ઘટનાસ્થળે હાજર રહી હતી. છેલ્લા 15 દિવસમાં જ ગેસ ભરેલા ટેન્કરનો ચોથો અકસ્માત સર્જાયો અત્રે ઉલ્લેખનિય છે કે પ્રોપેઇન ગેસ ભરેલા વાહનો બેફામ ગતિથી અને બેદરકારી પૂર્વક હાઇવે પર દોડતા હોય છે જે જોખમી છે , છેલ્લા 15 દિવસમાં જ પ્રોપેઇન ગેસ ભરેલા ટેન્કરનો આ ચોથો અકસ્માત થયો છે. આ પહેલાં એક ટેન્કરમાં તો બ્લાસ્ટ થતા અન્ય છ વાહનોને ખાક કર્યા હતા. ગેસ જેવા જ્વલનશીલ પદાર્થ વહન કરતા વાહન ચાલકો જવાબદારી સમજે તેવા રાખવા જોઇએ તેવી માંગ ઉઠી છે. એકનો જીવ ગયો પણ જો ઘર્ષણ થાત તો વિસ્ફોટ સાથે મોટી દુર્ઘટના સર્જાત ભચાઉ હાઇવે પર પ્રોપેઇન ગેસ ભરેલા ટેન્કરોને અકસ્માતનો સિલસિલો જારી રહ્યો

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:17 am

ગુમ થયેલા યુવાનની મળી ભાળ:ગોરખપુરથી ગુમ થયેલો માનસિક અસ્થિર યુવાન નલિયાથી મળ્યો

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાંથી ગુમ થયેલો માનસિક અસ્થિર યુવાન અબડાસાના નલિયાથી વાયોર જતા રસ્તા પર આવી પહોચ્યો હતો. રાત્રે પેટ્રોલિંગ કરતી નલિયા પોલીસને ધ્યાને આવતા ગોરખપુર પોલીસને જાણ કરી તેના પરિવારને સોપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નલિયા પોલીસ મથકના પીઆઈ વી.એમ.ઝાલાની સુચનાથી ટીમ નલિયા પોલીસ મથક વિસ્તારમાં રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન નલિયાથી વાયોર જતા રસ્તા પર આવેલ સહયોગ હોટલ પાસે એક માનસિક અસ્થિર યુવાન મળી આવ્યો હતો. હિન્દી ભાષામાં બોલતા યુવાનને પોલીસે વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા પોતાનું નામ શિવકુમાર અને ઉત્તરપ્રદેશના ગોરખપુરનો વાતની હોવાનું જણાવ્યું હતું.જે બાદ નલિયા પોલીસે ગોરખપુર જિલ્લા પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી.ત્યારે ગોરખપુર જિલ્લાના પીપરાઈચ પોલીસ મથકે આ યુવાન ગુમ થયો હોવાની નોંધ કરાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પીપરાઈચ પોલીસ મથકનો સંપર્ક કરી યુવાનના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.જેથી તેના પરિવારજનો નલિયા પોલીસ મથકે દોડી આવ્યા હતા.જે બાદ તેના પિતા વિજયકુમાર હરીલાલ નિષાદને સોપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:04 am

શિક્ષણ સહાયકોમાં આનંદનો માહોલ:કચ્છના 68 શિક્ષણ સહાયકોને 5 વર્ષ થતા પૂરા પગારના આદેશ

શહેરની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કચ્છના સરકારી માધ્યમિક વિભાગના 68 શિક્ષણ સહાયકોએ 5 વર્ષ પૂર્ણ કરતાં પૂરા પગારના આદેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે 5 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને અભિનંદન આપતાં વિદ્યાર્થીઓને વધુ ધગશથી શિક્ષણ આપવાં આહવાન કર્યું હતું. સાથે સાથે તાજેતરમાં કચેરીમાં બઢતીથી વર્ગ 2માં શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક પામેલ પૃથ્વીરાજસિંહ ઝાલા, મહેશદાન ગઢવીને આવકાર આપવામાં આવ્યા હતા. મદદનીશ શિક્ષણ નિરીક્ષકથી વર્ગ 2 આચાર્યમાં બઢતી પામેલ અમિતભાઈ ધોળકિયા, અશ્વિનસિંહ વાઘેલા, દિનેશભાઈ દેસાઈ તેમજ બદલી પામેલ વર્ગ 2 નાસીર હુસેન મન્સુરી અને વાણિતાબેન મહિડાનું સન્માન કરાયું હતું. પાંચ વર્ષ પૂર્ણ કરનાર જાગૃતિબેન પંડ્યા તેમજ ભાવિકભાઈ ગઢવીએ ત્વરિત આદેશો મળવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો આભાર માન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ અજાણી, મુરજીભાઈ મીંઢાણી, કૃણાલભાઈ મકવાણા, ઉમેશભાઈ પરમાર, નરેન્દ્ર રામાનુજ તેમજ ટીમ ડીઈઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં આચાર્ય ભૂમિકાબેન ગઢવી, બિપીનભાઈ વકીલ, દિવ્યરાજસિંહ જાડેજા, જયેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. સંચાલન નિખિલ ભાઈ ગોરે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 7:04 am

84 ટકા લક્ષ્યાંક પાર કરવામાં આવ્યો:પાલિકાના ચોપડે શેરી ફેરીયા 1174 પણ આત્મ નિર્ભર લોન માટે અરજદાર 3918

કોરોના દરમિયાન સંક્રમણ અટકાવવા મોટાભાગનો સમય લોક ડાઉનનો રહ્યો હતો, જેથી રોજેરોજનું કમાઈને ખાનારા શેરી ફેરીયાઓને સ્વાવલંબી બનાવવા પ્રધાનમંત્રી શેરી ફેરિયા આત્મનિર્ભર નિધિ કાર્યક્રમ હેઠળ 7 ટકા સબસિડીથી લોન અપાઈ હતી, જેમાં ભુજ પાલિકાને ચોપડે 1174 શેરી ફેરીયા નોંધાયેલા છે. પરંતુ, લોન માટે 3918 અરજી આવી હતી, જેમાંથી 3482 વ્યક્તિની મંજૂર થઈ હતી. આમ, 84 ટકા લક્ષ્યાંક પાર પડ્યો હતો. હરતીફરતી હાથલારી, કેબિન, માર્ગમાં પાથરણા પાથરીને શાકભાજી, ફળ કે અન્ય કોઈપણ ચીજ વસ્તુ વેચીને ગુજરાન ચલાવનારા માટે પ્રથમ ટર્મમાં પ્રત્યેકને 15000ની લોન આપવા 3127 વ્યક્તિનો લક્ષ્યાંક રખાયો હતો, જેમાં 2242 જણે અરજી કરી હતી, જેમાંથી 2157ની મંજૂર થઈ હતી. 69 ટકા લક્ષ્યાંક પાર પડ્યો હતો. એવી જ રીતે બીજી ટર્મમાં પ્રત્યેકને 25000ની લોન આપવા 818નો લક્ષ્યાંક અપાયો હતો. અરજીઓ 1223 આવી હતી. મંજૂર 972 થઈ હતી. 116 ટકા લક્ષ્યાંક પાર પડ્યો હતો. એવી જ રીતે ત્રીજી ટર્મમાં પ્રત્યેકને 50000ની લોન આપવા માટે 155નો લક્ષ્યાંક અપાયો હતો. 453 અરજી આવી હતી 216 ટકા લક્ષ્યાંક પાર પડ્યો હતો. આમ, ત્રણેય ટર્મમાં કુલ 4100ના લક્ષ્યાંક સામે 3918 અરજીઓ આવી હતી, જેમાંથી 3482 મંજૂર થઈ હતી. બેંકે 3431ને માન્ય રાખ્યા હતા, જેથી ત્રણેય વર્ષમાં સરેરાશ 84 ટકા લક્ષ્યાંક પાર પડ્યો હતો. બેંકે 221 અરજી પરત કરી હતીએન.યુ.એલ.એમ. શાખાના મેનેજર કિશોર શેખાએ જણાવ્યું કે, બેંકને 221 વ્યક્તિઓ સ્થળ પર મળી ન હતી, જેથી અરજી પરત કરી હતી, જેમાંથી 65 અરજી પાલિકા ખરાઈ કરીને ભલામણ માટે મોકલી હતી. જોકે, હજુ 142 જેટલી અરજી મંજૂર નથી થઈ. 59ના દસ્તાવેજ ચકાસી મંજૂર કરાઈ છે પણ લાભાર્થીના ખાતામાં રકમ જમા થઈ નથી. નોંધાયેલા નહોતા એમને સમાવી લેવાયામેનેજરને પૂછ્યું કે, પાલિકાના ચોપડે નોંધાયેલા અને અરજદાર વચ્ચે આવડો ફરક કેમ છે ? તો તેમણે જણાવ્યું કે, નોંધણી ચાલતી હતી ત્યારે ખરાઈ કરીને જેમને ઓળખ કાર્ડ અપાયા હતા એની સંખ્યા અને વણનોંધાયેલાને લોનમાં સમાવી લેવાયા એની સંખ્યા વચ્ચે ફરક છે. બાકી બધા લાભાર્થી સાચા છે. જેની બેંકે ખરાઈ કરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:57 am

કરુણ બનાવ:હમીરસર તળાવમાં ડૂબી જવાથી 55 વર્ષીય મહિલાનું મોત થયું

શહેરના હદયસમા હમીરસર તળાવમાં અવાર નવાર ડૂબી જવાના બનાવો બની રહ્યા છે તેવામાં હવે 55 વર્ષીય વૃદ્ધાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ શહેરના ભક્તિ પાર્કની સામે રહેતા 55 વર્ષીય વિદ્યાબેન સંજયભાઈ શાહનું મોત નીપજ્યું હતું. બનાવ ગુરુવારે બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.ભુજ ફાયર વિભાગની ટીમને હમીરસર તળાવમાં વંદેમાતરમ ગાર્ડન પાસે મહિલાનો દેહ તળાવમાં દેખાતો હોવાનું ફોન આવ્યો હતો. જાણ થતા જ ટીમના ડીસીઓ જીગ્નેશ જેઠવા,ફાયર મેન ઈમ્તિયાઝ સમા,રુદ્ર જોષી અને મોહન રબારી સહિતના સ્થળ પર દોડી ગયા હતા.જે બાદ તળાવમાંથી વૃદ્ધાના દેહને બહાર કાઢવામાં આવ્યો હતો જે બાદ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:54 am

કચ્છને મળ્યા નવા વન સંરક્ષક:કચ્છ વનવિભાગના વડાની બદલી, ડો.ધીરજ મિત્તલ નવા વન સંરક્ષક !

કચ્છ વનવિભાગમાં ઉચ્ચ પોસ્ટ પર મોટો ફેરબદલ થયો છે. જિલ્લાના મુખ્ય વન સંરક્ષક ડો. સંદીપ કુમારની વડોદરા વર્તુળમાં બદલી કરાઈ છે. આ સ્થાને ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના ઉપસચિવ પદે ફરજ બજાવતા આઈ.એફ.એસ અધિકારી ડો.ધીરજ મિત્તલને વન સંરક્ષક પદે કચ્છમાં નિયુક્ત કરાયા છે. ડો.સંદીપ કુમારના કાર્યકાળમાં કચ્છમાં વાઇલ્ડલાઇફ અને ઈકોસીસ્ટમ મુદ્દે નોંધપાત્ર કામગીરી થઇ છે. ડો. ધીરજ મિત્તલ હાલ નાયબ વન સંરક્ષક પદે હતા અને તેઓ ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના ઉપસચિવ પદે ફરજ બજાવતા હતા. 2012 બેચના IFS અધિકારીને સરકારે પ્રમોશન આપી કચ્છના વન સંરક્ષક પદની જવાબદારી સોંપી છે. કચ્છની મુખ્ય વન સંરક્ષકની કેડર પોસ્ટને આ સાથે જ ડાઉનગ્રેડ કરીને વન સંરક્ષક કરાઈ છે. ડો. ધીરજ મિત્તલે ભાસ્કર સાથે વાત કરતા કચ્છ પોસ્ટિંગ અને પ્રમોશન અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જણાવ્યું હતું કે, ડાંગ અને ગીરમાં પણ તેઓએ ફરજ બજાવી છે. આ અગાઉ તેઓ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં વન સંરક્ષણ, પ્રોજેક્ટ સિંહ અને પ્રોજેક્ટ હાથી સહિતના મહત્વપૂર્ણ પોર્ટફોલિયો સંભાળી ચૂક્યા છે. કચ્છમાં પ્રોજેક્ટ ચિત્તા, હેણોતરો અને ઘોરાડ તેમના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. રસપ્રદ બાબત છે કે, તેઓ પ્લાન્ટ મોલેક્યુલર બાયોલોજીમાં દિલ્હી યુનિવર્સીટી ખાતેથી પીએચ.ડી ની ડિગ્રી ધરાવે છે. તે અનુભવો કચ્છમાં રસપ્રદ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:54 am

ફૂડ વિભાગ દ્વારા કરાયું ચેકિંગ:જથ્થાબંધ માર્કેટમાં ખાદ્ય ગોળનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી તપાસ માટે લેબમાં મોકલાયો

ઉત્તરાયણ નિમિત્તે ફૂડ વિભાગ દ્વારા ભુજની જથ્થાબંધ બજારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.જેમાં શંકાસ્પદ ગોળના નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલાવી 112 નંગ જથ્થો સ્થળ પર સીઝ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ દ્વારા માર્કેટ યાર્ડ (જથ્થાબંધ માર્કેટ)માં ગોળ, ચીકી તેમજ ઉત્તરાયણ નિમિત્તે વાપરવામાં આવતા રો-મટીરિયલ બાબતે ડેઝિગ્નેટેડ ઓફિસર એ. બી. પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઑફિસર એમ.એમ.પટેલ તથા એસ.બી.પટેલ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. વિવિધ પેઢીઓની તપાસમાં તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા ગોળ તથા અન્ય ખાદ્ય પદાર્થોની શંકાના આધારે મે. મોમાઈ ટ્રેડર્સ, માર્કેટયાર્ડ ભુજમાંથી પડેલ દેશી ગોળ 900 ગ્રામ કંપની પેકનો નમૂનો લઇ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યો છે. તેમજ સ્થળ પર વધેલા તમામ જથ્થાને પૃથ્થકરણ અહેવાલ ન આવે ત્યાં સુધી સ્થળ પર સીઝ કરવામાં આવ્યો છે. જેનો કુલ જથ્થો 12 પેટી અંદાજે 112 નંગ જેની આશરે કુલ કિંમત 10,812 છે. આ સાથે લીધેલ વડેચા દેશી ગોળ 900 ગ્રામ કંપની પેક, જૈનમ દેશી ગોળ 900 ગ્રામ કંપની પેક જેવા નમૂનાઓ પ્રયોગશાળામાં પૃથ્થકરણ અર્થે મોકલી આપેલા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દિવાળીના સેમ્પલ લેવાયા તે પૈકી હજુ પણ રિપોર્ટ બાકીકચ્છમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તહેવારો કે મોટી ઘટના બને ત્યારે હરકતમાં આવે છે. દિવાળી સમયે વિવિધ ફરસાણ અને મિઠાઈના 160 જેટલા નમૂના લેવાયા હતા. તેને અઢી મહિના જેટલો સમય વીતી ગયો છે. તે નમૂનામાં શું રિપોર્ટ આવ્યો તે બાબતે ફુડ વિભાગનો સંપર્ક કરતા અમુક રિપોર્ટ આવી ગયા છે. અમુક આવવાનાં હજુ બાકી છે. તેમાં ખાદ્ય કે અખાદ્યની વિગતો હવે જાહેર થશે તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:52 am

સિટી એન્કર:સ્વ. રૂપાણીએ સ્મૃતિવનમાં વાવેલા ‘કમંડળ’ વૃક્ષના ફળ દાદાને મળ્યા

કચ્છની ખુમારીના પ્રતીક સમાન સ્મૃતિવનમાં સ્વ.વિજયભાઈ રૂપાણીના હસ્તે વર્ષ 2021માં રોપવામાં આવેલું દુર્લભ ‘કમંડળ વૃક્ષ’ આજે ફળ આપી રહ્યું છે,આ વૃક્ષનું પ્રથમ ફળ દાદા ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરાયું હતું. આ વૃક્ષ કચ્છના અજેય આત્મબળનું જીવંત ઉદાહરણ છે. પથરાળ જમીનમાં પણ 1000 વર્ષથી વધુ જીવવાની ક્ષમતા ધરાવતું આ વૃક્ષ પ્રકૃતિની અજાયબી સમાન છે. આ વૃક્ષના પ્રથમ ફળને સી.એમ ભૂપેન્દ્રભાઈ પટેલને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ તકે રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્મૃતિવનમાં ઉછરી રહેલું આ વૃક્ષ પર્યાવરણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું એક ઉત્તમ મોડેલ છે. આ વૃક્ષના ઔષધીય ગુણ છે, જેમકે આયુર્વેદ મુજબ, આ વૃક્ષના પાન અને છાલમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે સોજા અને શ્વસન સંબંધી તકલીફોમાં ઉપયોગી નીવડે છે. ડાળીએ નહિ પણ થડમાં આવે છે ફળઆ વૃક્ષની સૌથી મોટી ખાસિયત તેની ‘કોલિફ્લોરી’ પ્રક્રિયા છે. સામાન્ય રીતે વૃક્ષો પર ફળ ડાળીઓના છેડે આવતા હોય છે, પરંતુ કમંડળના ફળ સીધા થડ પર અથવા જાડી ડાળીઓ પર ઉગે છે. તેનું ફળ સખત કવચ ધરાવે છે, જે પાકી ગયા પછી લાકડા જેવું મજબૂત બની જાય છે.પથરાળ જમીનમાં પણ 1000 વર્ષથી વધુ જીવવાની ક્ષમતા ધરાવતું આ વૃક્ષ પ્રકૃતિની અજાયબી સમાન છે. ભાસ્કર નોલેજઋષિ-મુનિઓના ‘કમંડળ’ આ વૃક્ષના ફળમાંથી જ બનતાભારતીય આધ્યાત્મિક વિરાસત સાથે જોડાયેલું આ પવિત્ર વૃક્ષ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓના ‘કમંડળ’ આ વૃક્ષના ફળમાંથી જ બનતા હતા. આ વૃક્ષને વનસ્પતિશાસ્ત્રની ભાષામાં ‘ક્રેસેન્ટિયા કુજેટ’ કહેવામાં આવે છે, તે ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય, ભગવાન શિવ અને બ્રહ્મદેવના હાથમાં કમંડળ જોવા મળે છે. તે ત્યાગ, વૈરાગ્ય અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. ફળની અંદરનો ગર્ભ કાઢી નાખીને તેને સૂકવવામાં આવે છે. તૈયાર થયેલું આ કુદરતી પાત્ર વર્ષો સુધી બગડતું નથી અને તેમાં રાખેલું પાણી શુદ્ધ રહે છે તેમ માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:51 am

એક જ ભુજ, બે જિંદગી:કોઈ માટે સ્વાસ્થ્યની ૠતુ તો કોઈ માટે ઠંડી વચ્ચે પેટની આગનો સંઘર્ષ

ભુજ શહેરમાં ઠંડીની તીવ્રતા વધતાં એક જ શહેરમાં બે અલગ દુનિયા જીવતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ સવાર પડતાં વોકવે પર ગરમ કપડાંમાં સજ્જ શ્રીમંત અને મધ્યમ વર્ગના લોકો આરોગ્ય માટે વૉકિંગ કરતા જોવા મળે છે, જ્યારે બીજી તરફ એ જ ઠંડી ગરીબ અને વંચિત વર્ગ માટે પીડા બનીને તૂટે છે. વોકવે પર ચાલતા લોકો માટે ઠંડી તાજગી અને આનંદ લાવે છે. ધુમ્મસમાં ઢંકાયેલી સવાર, હોટલ પર ચા, દૂધની ચૂસકી, આ બધું ખુશી આપે છે. પરંતુ એકોર્ડ હોસ્પિટલ, આરટીઓ, રિલાયન્સ સર્કલ સહિતના કેટલાય વિસ્તારોમાં ઝૂંપડાંમાં અને ખુલ્લા આકાશ નીચે રહેતા ગરીબ લોકો માટે આ ઠંડી અનિદ્રા લઈને આવે છે. રાત પડે એટલે તેમની મુશ્કેલી વધુ ઘેરી બને છે. પૂરતા ગરમ કપડાં કે કમ્બલ ન હોવાથી બાળકો અને વૃદ્ધો ઠંડીમાં થરથરતાં રહે છે. ઘણા પરિવારો ઝૂંપડા બહાર ચૂલામાં આગ સળગાવીને રસોઈ બનાવે છે અને એ જ આગ પાસે ભેગા થઈને પોતાના શરીરને થોડી ઉષ્મા આપવા પ્રયત્ન કરે છે. ધુમાડામાં આંખો ભીંજાય છે, ઠંડી હવામાં શરીર કંપે છે અને પેટની આગ તથા શરીરની ઠંડી વચ્ચે જીવન સંઘર્ષ કરતું રહે છે .પહેલી તસ્વીર વોકવેની છે તેની બહાર મોપેડ રાખવાની જગ્યા નથી એટલી સંખ્યામાં લોકો આવે છે બીજી તસ્વીર એકોર્ડ હોસ્પિટલ પાસેની છે જ્યાં માતા ચુલા પર રોટલા બનાવે છે અને દીકરો ચૂલાની આગમાં ઠંડીમાં રાહત મેળવી પેટની આગ બુઝાવે છે. જી.કે.મા દર્દીઓના સગા ખુલ્લામાં રાત વિતાવે છે, માધાપર જતા રહીશોની બાઇક નથી ચાલતી..! રાત્રે 1 વાગ્યાથી જ ધુમ્મસજી.કે.મા દર્દીઓ દાખલ હોય તેની સાથે એક વ્યક્તિને રહેવા દેવાય છે જોકે ગામડાઓમાંથી બે-ત્રણ સભ્યો આવે ત્યારે તેઓને બહાર ખુલ્લા પાર્કિંગમાં સુવાની ફરજ પડે છે. કમસેકમ ઠંડીમાં સગાઓ માટે અંદર સુવા દેવાનો માનવીય અભિગમ અપનાવવો જોઈએ. તાજેતરમાં પશ્ચિમ કચ્છના એક ગામમાંથી સારવાર લેવા આવેલા વૃધ્ધને બીજા દિવસે સવારે ડોક્ટરને બતાવવાનું હોવાથી બસ સ્ટેશનમાં જઈને રાત વિતાવી હતી. માધાપર રહેતા લોકો સ્મૃતિવન અથવા આરટીઓમાંથી જાય છે અહીં વનરાઈના કારણે ઠંડી એટલી હોય છે કે, બાઇક ચલાવી શકાતી નથી આવી જ હાલત મુન્દ્રા રોડ, પ્રમુખ સ્વામી, એરપોર્ટ રોડની છે જેના કારણે માર્ગો સૂમસામ થઈ જાય છે.રાતે 1 વાગ્યાના અરસામા તો ધૂમમ્સ જોવા મળી જાય છે

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:49 am

મેકર ફેસ્ટની 8મી આવૃત્તિ 10-11 જાન્યુઆરીએ યોજાશે:વેસ્ટમાંથી તૈયાર કરેલું વિગન લેધર, ડ્રોન સહિત 70 પ્રોજેક્ટ ડિસ્પ્લે કરાશે

વડોદરા : શહેરમાં મેકર ફેસ્ટ વડોદરા 2026ની 8મી આવૃત્તિનું 10 અને 11 જાન્યુઆરીના રોજ મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ,ખાતે કરવામાં આવશે. જેનું યુવાલાય મેકરસ્પેસ અને વડોદરા ઇનોવેશન કાઉન્સિલના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યરત મોડેલ્સ અને પ્રોટોટાઇપ્સ દ્વારા નવીનતા અને સર્જનાત્મક વિચારધારાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મેકર ફેસ્ટ યોજવામાં આવશે. આ વર્ષે મેકર ફેસ્ટ વડોદરાને દેશભરમાંથી 550થી વધુ એન્ટ્રીઓ મળી છે, જેમાંથી મૂલ્યાંકન પ્રક્રિયા બાદ 70 નવીન પ્રોજેક્ટ્સનું પ્રદર્શન માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાંથી મેકર્સ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે પ્રદર્શિત થનારા પસંદગીના ફ્લેગશિપ ઇનોવેશન્સમાં એક એવું મોડ્યુલર રોબોટિક સિસ્ટમ સામેલ છે, જેમાં ક્વાડકોપ્ટર ડ્રોન, હેક્સાપોડ વોકર અને રોવર ત્રણેય ગતિશીલ મોડ્સને એક જ પ્લેટફોર્મમાં સંકલિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેસ્ટમાંથી તૈયાર કરાયેલ વિગન લેધર, ગણિત શીખવાનું રસપ્રદ બનાવતી એજ્યુકેટિવ ગેમ, ફાયર ફાઇટિંગ ડ્રોન, AI આધારિત આસિસ્ટન્ટ, નવીન ઓરલ ફાર્માસ્યુટિકલ કેપ્સ્યુલ તથા આયુર્વેદિક સ્પ્રે જેવા અનેક નવતર પ્રોજેક્ટ્સ પણ અહીં જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:35 am

સીએમએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું:સીએમએમાં ફાઉન્ડેશનમાં 263 વિદ્યાર્થી પાસ, 74.08 ટકા પરિણામ

શહેરમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2025માં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશન પરીક્ષાનું ગુરુવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં વડોદરા સેન્ટર પરથી કુલ 355 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાંથી 263 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વડોદરા સેન્ટરનું કુલ પરિણામ 74.08 ટકા આવ્યું છે. સીએમએ ફાઉન્ડેશન અભ્યાસક્રમ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, કૉસ્ટિંગ, અને વ્યવસાયિક કુશળતાઓ જેવા આવરી લે છે, જે વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્ર માટે તૈયાર કરે છે. સિટીના સેન્ટરના ટોપ ત્રણ વિદ્યાર્થીમાં પ્રથમ ક્રમે અર્માન રાણાએ 400માંથી 318 ગુણ મેળવ્યા. દ્વિતીય ક્રમે ફાતિમા સજાપુરવાળએ 316 ગુણ પ્રાપ્ત કર્યા. જ્યારે તૃતીય ક્રમે આદિત્ય પરમારે 312 ગુણ મેળવી ટોપ થ્રીમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. તેમ સીએમએના ચેરપર્સન અમૃતા વ્યાસે જણાવ્યું હતું. 300થી વધુ માર્ક લાવવાનો ગોલ કરી તૈયારી કરતોએપ્રિલ મહિનાથી મેં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેમ જેમ પરીક્ષા નજીક આવતી ગઇ એટલે મારા સ્ટડીના કલાકોમાં વધારો કર્યો હતો. મારો 300થી વધારે માર્ક લાવવાનો ગોલ નક્કી જ હતો. રોજના 15થી 16 કલાક સ્ટડી કરી સોશિયલ મિડીયાના ડિસ્ટ્રેક્શનથી દૂર રહેતો હતો. - આદિત્ય પરમાર, 312/400 પ્રેક્ટિકલ્સ અને સેલ્ફ સ્ટડીથી આત્મવિશ્વાસ વધ્યોફાઉન્ડેશનમાં જો મહેનત કરો તો તે સરળ હોય છે. હું ટ્યુશનની સાથે સાથે રોજના 3થી 4 કલાક સેલ્ફ સ્ટડી કરતી હતી. સેલ્ફ સ્ટડી પર ધ્યાન આપી તૈયારી કરી હતી. જેના કારણે મારા આત્મવિશ્વાસમાં પણ વધારો થયો હતો. સાથે જ પ્રેક્ટિકલ પણ મહત્ત્વનું છે. - ફાતિમા સજાપુરવાળ, 316/400

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:34 am

હોમ મ્યુઝિયમ:મોતી અને ભરતકામના કલેક્શનનું ડિસ્પ્લે, વિદ્યાર્થી-રિસર્ચરને સંશોધન માટે ઉપયોગી

શહેરમાં સૌરાષ્ટ્રના પ્રાચીન મોતી અને ભરતકામને સમર્પિત પ્રથમ ગૃહ સંગ્રહાલય અને એક્ટિવિટિ સેન્ટરનું ‘વારસો’ હેઠળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દૂરંદેશી, દ્રઢતા અને લુપ્ત થતા વારસાને જાળવવા માટે આ અનોખી પહેલ વારસો ચેરિટેબલ ટ્રસ્ટના ડો. ગીતા શેઠના વર્ષો સુધીના કલેક્શનનું સંગ્રહ છે. કલાકારો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને રસિકો માટે આ મ્યુઝિયમમાં અભ્યાસ, સંશોધન અને પ્રેરણા માટે નિ:શુલ્ક પ્રવેશ રહેશે. જેથી કોઇ પણ વિદ્યાર્થી, રિસર્ચર તેની મુલાકાત લઇ શકે છે અને સંશોધનમાં તે ઉપયોગી રહેશે. એક યુગમાં જ્યાં ઘણી લોક પરંપરાઓ વિલુપ્ત થઈ ગઈ છે, આ મ્યુઝિયમ સંરક્ષણના દીવાદાંડી તરીકે ઊભું રહેશે. આ સંગ્રહાલયનું સફર લગભગ 50 વર્ષ પહેલાં શરૂ થયું હતું, જ્યારે ડૉ. ગીતા શેઠ ભટ્ટને દિલ્હી અને ગોવા જેવા સ્થળોએ સૌરાષ્ટ્રના પ્રાચીન મોતીના કામને સંભારણાઓમાં ફેરવ્યા હતા. ડૉ. ભટ્ટે કહ્યું કે, ઘણા લોકો મોતીકામને ફક્ત સુશોભન ટુકડાઓ માનતા હતા પણ મારા મતે તે જીવંત વાર્તાઓ હતી. જે કારીગરોની કુશળતા-સાંસ્કૃતિક સ્મૃતિથી રચાયેલા હતા. ઉદઘાટન સમારોહમાં એજ્યુકેશનાલિસ્ટ તેજલ અમીન, અનાર પટેલ અને ગીતા ગોરડિયા હાજર રહ્યા. મોતીનાં ઘરેણાં લગ્નમાં દીકરીને અપાતાંત્રણ સદીઓ પહેલા, સ્ફટિક મોતી ઇટાલીથી આફ્રિકા થઈને સૌરાષ્ટ્ર જતા હતા, જ્યાં સ્થાનિક મહિલાઓની કુશળતા દ્વારા તેમને આકર્ષક શણગારમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. આ મોતીના ટુકડાઓ ફક્ત ઘરેણાં નહોતા પરંતુ વારસાગત વસ્તુઓ હતા, જે પુત્રી અથવા બહેનના દહેજના ભાગ રૂપે પ્રેમથી તૈયાર કરવામાં આવતા હતા. દરેક ટુકડો કલાત્મકતા, સમુદાય ઓળખ અને ભાવનાત્મક વારસાને પ્રતિબિંબિત કરે છે. સંગ્રહ મહિલાઓની સર્જનાત્મક કલા-સંસ્કૃતિનો ઇતિહાસ છેભારતની સ્વતંત્રતા પછી, મોતીનું ઉત્પાદન સ્થાનિક સ્તરે શરૂ થયું અને કારીગરીની સુંદરતા સમુદાયોમાં બદલાતી ગઈ. સમય જતાં, આ લોક કલા ઉપેક્ષા, વ્યાપારી શોષણ અને આખરે અદ્રશ્ય થઈ ગઈ.તેને રોકવા માટે ડૉ. ગીતા શેઠ ભટ્ટે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાંચ દશકો સુધી મુસાફરી કરી, મોતીકામ અને હાથ ભરતકામના દુર્લભ નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આજે તેમનો સંગ્રહ ફક્ત એક સંગ્રહ નથી પરંતુ મહિલાઓની સર્જનાત્મકતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને કલાત્મક શ્રેષ્ઠતાનો ભાવનાત્મક ઇતિહાસ છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:31 am

એનટીએની જાહેરાત:નીટની અરજીમાં આધારકાર્ડ પ્રમાણે માહિતી નહીં હોય તો ફોર્મ રદ કરાશે

એનટીએએ નીટની પરીક્ષા માટે સૂચના જાહેર કરી છે. નીટની પરીક્ષામાં આધારકાર્ડ પ્રમાણેની માહિતી નહિ હોય તો ફોર્મ રીજેકટ થઇ જશે. અરજી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ભૂલો અથવા સમસ્યાઓ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. નીટ યુજી 2026ની પ્રવેશ પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માટે આ સૂચના જાહેર કરાઇ છે. એનટીએએ ઉમેદવારોને નોંધણી શરૂ થાય તે પહેલાં દસ્તાવેજો અપડેટ અને ચકાસણી કરવાની સલાહ આપી છે. અરજીમાં ભૂલો અથવા સમસ્યાઓ ટાળવા આ પગલું લેવાયું છે. એનટીએએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનું આધાર કાર્ડ સંપૂર્ણપણે સાચું અને અદ્યતન છે. ઉમેદવારનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો, સરનામું અને આધાર કાર્ડ પરની બાયોમેટ્રિક માહિતી તેઓ તેમના અરજી ફોર્મમાં ભરે છે તે બરાબર હોવી જોઈએ. કોઈપણ માહિતીમાં કોઈપણ વિસંગતતા હશે તો તેવા સંજોગોમાં ફોર્મ રદ થઇ શકે છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ દિવ્યાંગ ઉમેદવારોને તેમના યુડીઆઇડી કાર્ડ માન્ય અને અદ્યતન રાખવા સૂચના આપી છે. ઇડબલ્યુએસ, એસસી, એસસી અને ઓબીસી જેવી અનામત શ્રેણીઓના વિદ્યાર્થીઓ પાસે પણ વર્તમાન નિયમો અનુસાર અપડેટ અને માન્ય દસ્તાવેજો હોવા જોઈએ. નીટ યુજી 2026 માટે નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર શરૂ થવાની ધારણા છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં શરૂ થાય છે. ઉમેદવારોને સલાહ અપાઇ છે કે તેઓ નિયમિતપણે એનટીએ ની સત્તાવાર વેબસાઇટ્સ nta.ac.in અને neet.nta.nic.in છે. ઉમેદવારોએ નીટ યુજી 2026 સંબંધિત સાચી અને નવી માહિતી માટે એનટીએની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઇએ. 17 મેએ નીટની પરીક્ષા યોજાશે.દર વર્ષે 20 લાખથી વધારે વિદ્યાર્થીઓ એમબીબીએસ, બીડીએસ અને અન્ય મેડિકલ કોર્સની બેઠકો મેળવવા માટે નીટની પરીક્ષા આપે છે. 2025માં 22 લાખથી વધુ વિદ્યાર્થીએ નીટ આપી હતી. ભાસ્કર એક્સપર્ટફેબ્રુઆરીના મધ્ય’ભાગમાં નીટ યુજીનાં રજિસ્ટ્રેશનની શરૂઆત થવાની શક્યતાઅગાઉથી સૂચના આપવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન વખતે સમસ્યા ના થાય તેવો છે એનટીએ દ્વારા યોજવામાં આવતી મેડિકલ, પેરામેડિકલ જેવા અભ્યાસક્રમમો માટે નીટ યુજીની પરીક્ષા દર વર્ષે મે મહિનાનાં રવિવારે લેવાતી હોય છે. આધારકાર્ડ, કેટેગરી સર્ટિફીકેટની વિગતો અપડેટ કરવા માટે અગાઉથી જ સૂચના આપવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરતી વખતે અચાનક સમસ્યા ઉભી ન થાય તેવો છે. ફેબ્રુઆરીના મધ્યભાગમાં નીટ યુજીનાં રજીસ્ટ્રેશનની શરૂઆત થઇ શકે છે. તે માર્ચ મહિનાના ત્રીજા-ચોથા અઠવાડિયા સુધી આવેદન પ્રક્રિયા કરી શકાતી હોય છે. -જીતેશ જોશી, વિષય નિષ્ણાંત

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:27 am

ટ્રાફિક જામ સર્જાયો:ટ્રાફિક પોલીસની રેલીમાં અકોટા બ્રિજ બંધ, જેતલપુર બ્રિજ ઉપર ટ્રાફિક જામ

અકોટા બ્રિજ પર શહેર પોલીસે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026 નિમિત્તે રેલી માટે બંને તરફ અકોટા બ્રિજ બંધ કરી દેતા હજારો લોકો કલાક સુધી અટવાયા હતા. જેતલપુર બ્રિજ પર ભિમનાથ બ્રિજ તરફ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગુરુવારે અકોટા સોલાર પેનલથી યોગ સર્કલ સુધી ટ્રાફિક જાગૃતિ માટે પોલીસની બાઇક રેલી યોજાઇ હતી. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી હાજર હતા. 1500થી વધુ લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોલીસે હેલમેટ વિતરણ, વીડિયો લોન્ચિંગ કર્યું હતું. જ્યારે રેલીનું આયોજન કરાયું હતું. જેમાં અકોટા બ્રિજ બંધ કરાયો હતો. જો કે અલકાપુરી ગરનાળું બંધ, સાથે જ મુજમહુુડાનો એક રોડ બંધ રહેતા ટ્રાફિક જેતલપુર બ્રિજ તરફ ડાયવર્ટ થયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે, ટ્રાફિકમાં લોકોને અગવડ ન પડે તેનું ધ્યાન રખાશે. અડધો કલાક બંને રોડને બંધ કરીને ડાયવર્ઝન આપ્યું, 1 કિમી ટ્રાફિક જામપોલીસના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસે અડધો કલાક અકોટા બ્રિજનું ડાયવર્ઝન આપ્યું હતું. જેને કારણે સાંજે પિક અવર્સમાં હજારો લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. ટ્રાફિકનો સ્ટાફ પણ કાર્યક્રમમાં હતો. અકોટા બ્રિજનો એક રોડ બંધ કરવાને બદલે બંને બંધ કરતાં ટ્રાફિક જામ થયો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:25 am

દારૂડિયા ઝડપાયા:સયાજીગંજની પી.એમ.રેજન્સી હોટલમાં દારૂની મહેફિલ માણતા 8 લોકો પકડાયા

સયાજીગંજ પી.એમ.રેજન્સી હોટલના રૂમમાં જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 8 જણાને સયાજીગંજ પોલીસે પકડ્યા હતા. પોલીસને રૂમમાંથી બે દારૂની બોટલ મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે, સયાજીગંજ પી.એમ.રેજન્સી હોટલના રૂમ નં.504માં કેટલાક લોકો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. પોલીસ હોટલ પર પહોંચી હતી. રૂમમાં આઠ જણા વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા જણાયા હતા. પોલીસને રૂમમાંથી બે દારૂની બોટલ પણ મળી આવી હતી. ત્યારે રૂમ અજય સુખવાનીએ બુક કરાવયો હતો અને શંકર જેઠવાણીના જન્મ દિવસની પાર્ટી રાખવામાં આવી હતી. સયાજીગંજ પોલીસે આઠ જણા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપીનાં નામ

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:22 am

ખુશીયોં કા ઉત્સવ:યુનાઇટેડ વેએ ઇચ્છા પૂછીને 121 બાળકોને સ્માર્ટ વોચ આપ્યાં

યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા શહેરમાં રહેતા અને સિંગલ પેરેન્ટ્સના બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે 8 જાન્યુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં 450 બાળકો હાજર રહ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર નીલમ આચાર્યે જણાવ્યું કે, 8 વર્ષથી આ પ્રકારનો કાર્યક્રમ યોજાય છે, જેમાં સરકારી સ્કૂલના બાળકોને ઈચ્છા મુજબ ગિફ્ટ આપવામાં આવે છે. 20 દિવસ પહેલા બાળકોને શું જોઈએ છે તે અંગે પૂછપરછ કરી નોંધણી કરવામાં આવે છે. ત્યારબાદ આ ગિફ્ટ લાવી તેમને અપાય છે. સયાજીગજ ઝોનમાં આવેલી અંદાજે 22 સ્કૂલના 544 બાળકોનું રજીસ્ટ્રેશન થયું હતું. કાર્યક્રમમાં કાર્ટૂન કેરેક્ટર, બલૂન શૂટિંગ સહિત અનેક બાળકોને ગમતી રમતો રમાડવામાં આવી હતી. મેયર પિન્કીબેન સોની સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. સૌથી વધુ ગિફ્ટ સ્માર્ટ વોચની આપવામાં આવી હતી. સ્કૂલબેગ, વોલીબોલ મળી રૂ.2.5 લાખના ખર્ચે બાળકોને ભેટ સોગાતો આપી આનંદિત કરાયા હતા. બાળકોમાં સ્માર્ટ વોચનો ક્રેઝ, આધુનિક અભિગમ સીંચવા માટે વોચ અપાયાંબાળકો દ્વારા સૌથી વધુ સ્માર્ટ વોચની ડિમાન્ડ કરવામાં આવી હતી. જેમાં 121 નંગ સ્માર્ટ વોચ બાળકોને ભેટ તરીકે અપાઈ હતી. 1થી 8 ધોરણના બાળકોમાં આ ગિફ્ટનું વિતરણ કરાયું હતું. જેમાં બાળકોએ ફોન થઈ શકે, ડિજિટલી જોઈ શકાય અને આધુનિક જમાના સાથે તાલ મિલાવી શકાય તે આશયથી સ્માર્ટ વોચની માંગણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:20 am

ઘાયલ પક્ષીઓની સારવાર માટેની કરૂણાસભર પહેલ:ઉત્તરાયણમાં વન વિભાગનાં 40 પક્ષી બચાવ કેન્દ્રો કાર્યરત રખાશે

ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ અબોલ પક્ષીઓની સારવાર માટેની કરૂણાસભર પહેલ થકી સમગ્ર રાજ્યમાં 10થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન-2026નો પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરા વન વિભાગ જીવો, જીવવા દો અને જીવાડોના મંત્ર સાથે દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંસ્થાઓના સહયોગથી 40થી વધુ કેમ્પ કમ કલેક્શન સેન્ટર ઊભા કરશે. ભૂંતડીઝાપા, પંડ્યા બ્રિજ પાસે વેટરનરી હોસ્પિટલ તેમજ સયાજીબાગ નર્સરી અને રેસ્ક્યુ સેન્ટરમાં વેટરનરી ડોક્ટરની ટીમ હાજર રહેશે. સયાજીબાગ નર્સરીમાં 3 ઓપરેશન થિયેટર હશે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે, કરૂણા અભિયાનમાં 500થી વધુ સ્વંયસેવકો જોડાશે. છેલ્લાં પાંચ વર્ષમાં 6 હજારથી વધુ ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યૂકરૂણા અભિયાનમાં વડોદરા વન વિભાગે 5 વર્ષમાં 6407 ઘાયલ પક્ષીઓની સારવાર કરી છે. જેમાંથી 5806પક્ષીઓને જીવનદાન મળ્યું છે. પક્ષીઓમાં મોટા ભાગના કબૂતર છે. જ્યારે 5થી 10 ટકામાં શિડ્યુલ બર્ડ બાજ, સમડી, ફાલ્કન અને વોટર બોર્ડ્સનો સમાવેશ થાય છે. બેથી ત્રણ શકરોબાજ પણ સેન્ટરમાં આવ્યા. દુનિયાનું સૌથી ઝડપથી ઊડતું પક્ષી શકરોબાજ છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:19 am

68.35 લાખનું બિલ પાલિકામાં મૂકવામાં આવ્યું:બીલ ગામમાં કૃત્રિમ તળાવ બનાવવા 68 લાખ ખર્ચાયા

શહેરમાં ગણેશ ઉત્સવ અને દશામા પર્વને ધ્યાનમાં રાખીને મૂર્તિ વિસર્જન કરવા માટે પાલિકાએ 10 સ્થળોએ કૃત્રિમ તળાવ બનાવ્યાં હતાં, જે પૈકી બીલ ગામ ખાતે નિર્માણ કરાયેલા કૃત્રિમ તળાવનો ખર્ચ રૂા.67 લાખ સુધી પહોંચ્યો છે. કૃત્રિમ તળાવ માટે ખાડો ખોદવા, પ્લાસ્ટિક પાથરવા અને બોરિંગ કરવા માટેનું બિલ મૂકવામાં આવ્યું છે. શહેરમાં દર વર્ષે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે નવલખી મેદાન પાછળ, માંજલપુર ગામ, તરસાલી શાક માર્કેટ પાસે, મકરપુરા ગામ, બિલ ગામ, ભાયલી ગામ તથા હરણી-સમા લિંક રોડ, વાઘોડિયા રોડ પર એસએસવી સ્કૂલની સામે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. આકસ્મિક ખર્ચ પેટે કરવામાં આવેલી કામગીરીમાં બીલ ગામ પાસે કૃત્રિમ તળાવ બનાવવાનો ખર્ચ રૂા.68.35 લાખનો થયો હોવાનું બિલ પાલિકામાં મૂકવામાં આવ્યું છે, જે અંદાજ ભાવ કરતાં 11 ટકા વધુ છે. પાલિકાની સ્થાયી સમિતિમાં આ કામ માત્ર જાણ માટે મૂકવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:17 am

વિવાદ સર્જાયો:વડસર બ્રિજના સમારકામના 19 ટકા વધુ ભાવ સાથે 73 લાખનું બિલ મૂકાતાં વિવાદ

ચોમાસા પૂર્વે શહેરના તમામ બ્રિજનું પ્રિ-ઓડિટ કર્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા વિના એક પછી એક બ્રિજનું સમારકામ કરાયું છે. જેમાં વડસર બ્રિજના ગ્નાઇટિંગ અને એપોક્ષી પેઇન્ટ લગાવવાની કામગીરી કરાઈ હતી, જેનો અધધ 73 લાખ ખર્ચ થયો છે. આ કામ 67 3C હેઠળ કરાયું હોવાથી 19 ટકા વધુ ભાવ ચૂકવાશે. રાજ્યમાં મોરબી દુર્ઘટના બાદ તમામ બ્રિજનું પ્રિમોન્સૂન અને પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શન કરવાની કામગીરી શરૂ કરાઇ છે, જે અંતર્ગત આ વર્ષે ચોમાસા પૂર્વે શહેરના જુદા જુદા બ્રિજનું ચેકિંગ કરાયું હતું. પ્રિમોન્સૂન રિપોર્ટમાં વડસર બ્રિજના પોપડા ખરવા સહિતની ખામીઓ જણાતાં તેનું સમારકામ કરવાની કામગીરી હાથ પર લેવાઈ હતી. ટેન્ડરિંગ પ્રક્રિયા વિના 67 3સી હેઠળ આ કામ કરવાનું નક્કી કરાયું હતું. જેમાં બ્રિજ નીચે ગ્નાઈટિંગ અને એપોક્ષી પેઈન્ટ કરવાની કામગીરી કરાઈ હતી. જે માટે 61.35 લાખના અંદાજ સામે કોન્ટ્રાક્ટર રત્નદીપ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે 19 ટકા વધુ ભાવ 73 લાખનું બિલ મૂક્યું હતું, જેથી વિવાદ થયો છે. નોંધનીય છે કે, અગાઉ કાલાઘોડા બ્રિજ અને બહુચરાજી રોડ બ્રિજનું કામ પણ 67 3C (આકસ્મિક ખર્ચ) હેઠળ કરાયું હતું. આ કામગીરીમાં પણ પાલખ તૂટવા-સામાન પાણીમાં વહી જવાનો ઉલ્લેખઅગાઉ કાલાઘોડા અને બહુચરાજી રોડ પરના બ્રિજની દરખાસ્તમાં વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધતાં પાલક તૂટી જવા અને સામગ્રીનું નદીમાં વહન થયું હોવાના બનાવો બન્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ દરખાસ્તમાં પણ એ જ રીતે કોપી-પેસ્ટ કરી, થયેલા ખર્ચને યોગ્ય ખર્ચ થયો હોવાનું પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું હોવાનું સપાટી પર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:16 am

4 મશીન બળી ગયા:ઉધનામાં જોગણી માતા મંદિર પાસે કારખાનામાં આગ

ઉધના ચોસઠ જોગણી માતા મંદિર નજીક બ્લેઝર બનાવવાના સિલાઈના કારખાનામાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી 26 જેટલા મશીનો બચાવી લીધા હતા. ઉધના ચોસઠ જોગણી માતાના મંદિર પાસે દેવચંદ નગરમાં આવેલા આઉટ ઓફ ઈન્ડીયા પ્રા.લી. નામના બ્લેઝર બનાવવાના બંધ કારખાનામાં બુધવારે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. કારખાનામાં ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટરાઈઝ સિલાઈ મશીનો આગની લપેટમાં આવી જતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બીજા માળે લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયરની ટીમે અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો અને કારખાનામાં તે વિભાગમાં ઉપયોગમાં લેવાતા 30 મશીનો પૈકી 26 મશીનો આગની લપેટમાં આવતા બચાવી લીધા હતા. આગના આ બનાવમાં 4 મશીન બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:13 am

સિટી એન્કર:નિઝામપુરામાં ઘરની ટાંકીનું પાણી અચાનક ગરમ થવા લાગતાં કૌતુક, પાલિકા, ગેસ વિભાગ અને જિઓલોજિસ્ટની તપાસ છતાં ભેદ અકબંધ

નિઝામપુરાની સોસાયટીના એક મકાનમાં એક મહિનાથી પાણી ગરમ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. અઠવાડિયાથી પાણી વધુ ગરમ આવતાં પાલિકા અને ગેસ વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી. નિઝામપુરામાં ફતેગંજથી પોલિટેક્નિક-ડ્રગ લેબના રસ્તે 60 વર્ષ જૂની સેન્ટ જોસેફ સોસાયટી છે. જ્યાં એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોરની ટાંકીમાં પાણી ગરમ થતાં આશ્ચર્ય ફેલાયું હતું. અઠવાડિયાથી પાણી ખૂબ ગરમ આવતાં છેવટે પાલિકા અને ગેસ વિભાગને જાણ કરાઇ હતી. ગેસ વિભાગે આ ઘર અને તેની નજીકનાં કેટલાંક ઘર પાસે ડ્રીલ કરી તપાસ કરી હતી. ગુરુવારે સવારે રહીશોએ ટાંકીમાંથી જૂની મોટર કાઢી હતી, તે પછી પાણી સામાન્ય બન્યું હોવાનું જણાયું હતું. નળમાંથી પાણી કાઢ્યા બાદ ઠંડું કરવા મૂકી રાખીએ છીએએક મહિનાથી પાણી ઉપલા માળે મોટરથી પાણી ચઢાવતાં ગરમ આવતું હતું. કેટલાક દિવસથી મિનિટો સુધી ઠંડું કરવા મૂકી રાખવું પડે છે. > નિશાબેન સૈયદ, રહીશ, સેન્ટ જોસેફ સોસાયટી પહેલાં લાગ્યું કે સામાન્ય ઘટના છે. પછી પાણી રોજ ગરમ થવા માંડ્યું. આસપાસની ટાંકીમાં પાણી સામાન્ય હોય છે. > વિજય રાજપૂત, રહીશ, સેન્ટ જોસેફ સોસાયટી એક મકાન પાસેથી ગેસ વિભાગે 2 લીકેજ શોધ્યાંસોસાયટીમાં ગેસ વિભાગે ઘરોની સામે ડ્રીલ કરી લાઇનોની તપાસ કરી હતી. જેમાં એક મકાનની બહારના ભાગેની લાઇનમાંથી ગેસનાં 2 લીકેજ શોધાયાં હતાં. જે ગેસ કંપનીએ બંધ કર્યાં હતાં. જોકે આ લીકેજને પાણી ગરમ થતું હોવા સાથે કોઇ સંબંધ હોવાનું પુરવાર થયું ન હતું. ઉપરાંત જિઓલોજિસ્ટને પણ બોલાવ્યા હતા. તેઓ તપાસ માટે બે વાયર સાથે આવ્યા હતા, પણ કંઇ નક્કર તારણ તેમણે જાહેર કર્યું ન હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:10 am

31 વર્ષે વોન્ટેડ આરોપી પકડાયો:પોલીસ પકડી ન શકે તે માટે લૂંટારાએ 30 વર્ષ મોબાઇલ ફોન જ વાપર્યો નહીં

કોંસબામાં રિવોલ્વરથી ફાયરિંગ કરી લૂંટની 4 ઘટનાને અંજામ આપનાર રીઢા લૂંટારૂને રાજસ્થાનના જયપુરથી PCBના સ્ટાફે પકડી પાડયો છે. લૂંટારૂ છેલ્લા 31 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. છેલ્લા 30 વર્ષથી આરોપીએ પોલીસથી બચવા માટે મોબાઈલનો ઉપયોગ પણ કર્યો ન હતો. હાલમાં પીસીબીના સ્ટાફે તેને પકડી કોંસબા પોલીસને હવાલે કરી દીધો છે. પીસીબીના પીઆઈ આર.એસ.સુવેરાની સૂચનાથી ASI હસમુખ મોહન અને હેડ.કો. અશોક લૂણી સ્ટાફ સાથે રાજસ્થાન રવાના થયા હતા. જ્યાં જયપુર ખાતેથી લૂંટના ગુનાનો રીઢો આરોપી બ્રીજભાન ઉર્ફે બ્રષભાન દેવીદીન લોધી(50)(રહે,બદાવલી ગામ,રાજસ્થાન,મૂળ રહે,યુપી)ને પકડી પાડયો છે. વર્ષ 1995 થી 1999 સુધીમાં પકડાયેલા લૂંટારૂએ તેના સાગરિતો સાથે કોંસબા અને તરસાડીમાં પેટ્રોલપંપ, મેડિકલ સ્ટોર, વેપારી સહિત 4 જણા પર રિવોલ્વરથી ફાયરિંગ કરી 65 હજારની રોકડ લૂંટના 4 ગુનાને અંજામ આપ્યો હતો. અગાઉ તેના સાગરિતો પકડાયા ગયા હતા. જ્યારે રીઢો લૂંટારૂ બ્રીજભાન ભાગી ગયો હતો. તે વખતે આરોપીની ઉમર 19 વર્ષની હતી. પોલીસથી બચવા માટે તે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતો હતો. છેલ્લા 3 વર્ષમાં PCBએ 77 આરોપીને પકડી પાડ્યાછેલ્લા 3 વર્ષમાં પીસીબીના સ્ટાફે નાસતા ફરતા 77 આરોપીઓને પકડી પાડયા છે. જેમાં 15 વર્ષથી વધુ સમયથી ભાગતા વોન્ટેડ 38 ગુનેગારોને પકડી પાડયા છે. આ બધા આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા. વર્ષ મુજબ પકડાયેલા આરોપી વર્ષ ભાગેડુ 15 વર્ષ જૂના

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:09 am

કાર્યવાહી:માસ્ક અને કેપ પહેરીને 30 જેટલી ચોરી કરનારા ચોરને પોલીસે પકડ્યો

કારખાના અને ગોડાઉનને નિશાન બનાવી રાત્રીના સમયે માસ્ક અને કેપ પહેરીને ચોરી કરતા રીઢા ચોરને સચિન પોલીસે ઝડપી પાડ્યો હતો. 2012થી ચોરી કરતા આ ચોરે 30થી વધુ ચોરી કરી હોવાની કબુલાત કરી છે. સચિન પોલીસ મથકની હદમાં આવેલા હોજીવાલા રોડ નં 7માં આવેલી આરાધ્યા સિલ્ક મિલમાંથી તા.25-11-2025ના રોજ કોઇ ચોરે ઓફિસમાં ઘુસીને રોકડા રૂ.1.96 લાખની ચોરી કરી હતી. આ ગુનાની સચિન પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા ચોરે પોતાની ઓળ‌ખ ન થાય તે માટે માસ્ક પહેરેલું હતું. તેમજ કેપ અને ગ્લોઝ પણ પહેરેલા હતા. સચિન પોલીસના પીએસઆઇ એન.ડી.ડામોરે જણાવ્યું હતું કે, પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરીને મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના સીસુંદાગામને વતની અને સચિનના પાલીગામ જલારામનગરમાં રહેતા લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુટખા ઉર્ફે રાજુ શ્રીહરિ દંડપાની બિસોઇ (ઉવ.33)ની ધરપકડ કરી છે. ઔદ્યોગિક વિસ્તારમાં વધુ ચોરી કરતો હતોપોલીસના હાથે પકડાયેલો લાલા ઉર્ફે રાજુ વર્ષ 2012માં સુરત આવ્યો હતો અને મીલમાં સાડી ડિઝાઇનર તરીકે નોકરી કરતો હતો. બાદમાં ચોરીના રવાડે ચઢી ગયો હતો. વર્ષ 2012થી 2025 દરમિયાન તેણે ઉધના ઉદ્યોગનગર, પાંડેસરા, પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ, લિબાયત મહાપ્રભુનગર સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં 30 થી વધુ ચોરી કર્યાની કબુલાત કરી હતી. વર્ષ 2021માં ક્રાઇમ બ્રાંચના હાથે પકડાય ચૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:07 am

મિત્રની બહેન સાથે પ્રેમ સબંધ હોવાથી હત્યા કરી હતી:ઉધનામાં હત્યા કરનારો આરોપી 17 વર્ષે આખરે તામિલનાડુથી ઝડપાયો

બહેન સાથે પ્રેમ સબંધ હોવાથી ભાઇએ તેના પાંચ સાથીઓ સાથે ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં કારીગર પર ચપ્પુના ઘા મારી હત્યા કર્યાના બનાવમાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉધના પોલીસે તામિલનાડુથી પકડી પાડ્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની બલરામ ઉર્ફે બેગાની બહેનનો મૂળ ઓરિસ્સાના અને ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝના સંચા ખાતામાં નોકરી કરતા પ્રભાત સાથે પ્રેમ સબંધ હતો. આ બાબતની જાણ બેગાએ થતા વર્ષ 2008માં તેણે તેના પાંચ જેટલા મિત્રો સાથે મળીને રાત્રીના સમયે સંચાખાતામાં ઘુસીને પ્રભાત પર ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને કરપીણ હત્યા કરી હતી. આ ગુનાામાં ઉધના પોલીસે 3 આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતીકે, અન્ય આરોપી સંતોષ સીમાંચલ પ્રધાન (ઉવ.36, રહે, બરીડાગામ, જી.ગંજામ ઓરિસ્સા) હાલ તમિલનાડુના ચેન્નઇમાં છે, જેને પકડી લેવાયો છે. સંતોષ પ્રધાન પાંચમાં પ્રયાસે પકડાયોપોલીસ તેને પકડી પાડશે એવી બીકે તે પોતાનું રહેણાંક અને કામનું સ્થળ બદલી નાખતો હતો. પાંચમાં પ્રયાસે તે પોલીસના હાથે લાગ્યો હતો. ઉધના પોલીસ દ્વારા હત્યાના ગુનામાં નાસતો ફરતા સંતોષ સીમાંચલ પ્રધાનને શોધી રહી હતી. આશરે સાતેક મહિના પહેલા પોલીસને બાતમી મળી હતીકે ઓરિસ્સાના ગંજામ જિલ્લાના બરીડા ગામમાં એટલે મુળ આરોપીના ગામમાં જ સંતોષ સીમાંચલ પ્રધાન ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે આ શખ્સને ઉચકી લાવી હતી. જોકે, બાદમાં વેરીફિકેશન કરતા જેને લાવી હતી તે આરોપી ન હોવાનું માલુમ પડતા છોડી મૂકવામાં આ‌વ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:06 am

હીરા કારખાનેદારની બાઈક સ્લીપ થતા સિટીબસ નીચે કચડાઈ જતા મોત:રોંગસાઈડ આવતી બાઈકથી હીરા કારખાનેદારની બાઈક સ્લીપ થઈ, સિટી બસ નીચે કચડાઈ ગયા

કતારગામમાં હીરાનું મશીન રીપેર કરાવવા જઈ રહેલા યુવાન હીરા કારખાનેદારની બાઈક સ્લીપ થયા બાદ સિટીબસ નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સામેથી અન્ય બાઈક ચાલક રોંગ સાઈડમાં ધસી જતા કારખાનેદારે બાઈક પરથી સંતુલન ગુમાવી દીધું હતું અને બાઈક સ્લીપ થતા બસ નીચે આવી ગયા હતા. કારખાનેદાર સાથે બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને પણ સામાન્ય ઈજા થઈ હતી. બનાવ અંગે પોલીસે સિટીબસના ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉતરાણ વીઆઈપી રોડ સિલ્વર લક્ઝુરીયા ખાતે રહેતા 29 વર્ષીય નિકુંજ સુભાષભાઈ સવાણી હીરાનું કારખાનું ચલાવતા હતા. ગુરૂવારે સવારે તેઓ તેમના પરીચીત કેતનભાઈને સાથે લઈ બાઈક પર સરીન મશીન રીપેર કરાવવા માટે જતા હતા. તેઓ ફુલપાડા થી રત્નમાલા જતા રોડ પર પસાર થતા હતા. ત્યારે સામેથી અચાનક રોંગ સાઈડમાં એક બાઈક સવાર ધસી આવ્યો હતો. સામેથી રોંગ સાઈડ માં અચાનક બાઈક ચાલક આવી ચડતા નિકુંજભાઈએ પોતાની બાઈક પરથી સંતુલન ગુમાવી દીધું હતું અને નીચે પટકાયા હતા અને બસ નીકે આવી ગયા હતા. પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઇજા થઈબાઇક સ્લીપ થઈ જતાં બાજુમાંથી પસાર થતી સિટીબસના પાછળના વ્હીલ નીચે કચડાઈ જતા નિકુંજભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ હતી અને રોંગસાઇડ આવતા બાઇકચાલકની ભૂલ દેખાઈ હતી. જ્યારે તેમની સાથે બાઈક પર સવાર કેતનભાઈને સામાન્ય ઈજા થઈ હતી. બનાવની જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે સિટીબસના ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:03 am

દારૂની હેરાફેરી ઝડપાઈ:શામળાજીની અણસોલ ચેકપોસ્ટે ટ્રકમાંથી 11.96 લાખના દારૂ સાથે બે શખ્સ ઝબ્બે

શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ ઉપરથી પસાર થઈ રહેલી ટ્રકમાં સફેદ પાવડરના કટ્ટાની આડમાં ગેરકાયદે લઈ જવાતો રૂ.11,96, 160નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રાજસ્થાનના ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી વિદેશી દારૂ અને ટ્રક સહિત રૂ.22.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન પીઆઇ એસ.એસ. માલને મળેલી ખાનગી માહિતીના આધારે ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રક નંબર આરજે 27 જીબી 13 38 ને પીએસઆઇ પીડી ગોહિલ અને આર જે રાઠોડ અને સ્ટાફે અટકાવીને તેની તલાશી લેતાં તેમાંથી સફેદ પાવડરના કટ્ટાની આડમાં છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની પેટી નંગ 97 બોટલ ક્વાર્ટર નંગ 2856 મળ્યા હતા. પોલીસે રૂ.11,96, 160નો વિદેશી દારૂનો જથ્થો, ટ્રક સહિત કુલ રૂ. 22,53, 660નો મુદ્દામાલ કબજે લઈ આરોપી ભેરૂલાલ રામાજી ભીલ અને દેવીલાલ ભાગચંદ લાલુજી ભીલ બંને રહે. ફલીચડા તા.માવલી જિ.ઉદેપુરની અટકાયત કરીને આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:02 am

APMCમાં મગફળીના ઢગલાં:હિંમતનગર APMCમાં ચાલુ વર્ષે મગફળીની 40 હજાર ક્વિન્ટલ આવક, ગત વર્ષથી 300-400 વધુ ભાવ મળ્યા

સાબરકાંઠા જિલ્લામાં ખરીફ-25મા મગફળીનું 85 હજાર હેક્ટરથી વધુમાં વાવેતર થયા બાદ છેલ્લા ત્રણ મહિનામાં 13.54 લાખ બોરીની બમ્પર આવક થઈ ચૂકી છે. જે ગત વર્ષના ત્રણ મહિનાની સરખામણીએ 1.13 લાખ બોરી એટલે કે 39.77 હજાર ક્વિન્ટલનો વધારો બતાવે છે. તદુપરાંત યાર્ડમાં ડિસેમ્બર મધ્યાંતર સુધી દૈનિક 18 થી 21 હજાર બોરીની આવક એકધારી જળવાઈ રહી હતી. માર્કેટયાર્ડ સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી માસના અંત સુધી મગફળીની આવક ચાલુ રહેનાર છે ત્યારે જિલ્લા બહારથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉંચા ભાવ મળતા મગફળી વેચવા હિંમતનગર અવ્યાનુ પ્રતીત થઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રતિ વર્ષ 75-76 હજાર હેક્ટરમાં ખરીફ મગફળીનું વાવેતર થાય છે. જેમાં મગફળીની કેટલીક જાત 130 દિવસથી વધુ સમય બાદ પાકે છે જેના કારણે માર્કેટયાર્ડમાં જાન્યુઆરી માસના અંત સુધી મગફળીની આવક ચાલુ રહે છે. જેમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ બાદ આવકમાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ખરીફ મગફળીનો વાવેતર વિસ્તાર 80-85 હજાર હેક્ટરની આસપાસ જાહેર કરાયો હતો. અગાઉ હિંમતનગર યાર્ડમાં મગફળીની સિઝન શરૂ થયા બાદ ત્રણ મહિનામાં 10-11 લાખ બોરીની સરેરાશ આવક થતી હતી. જેમાં ગત વર્ષથી વધારો થઈ રહ્યો છે. માર્કેટયાર્ડ સૂત્રોના જણાવ્યા અનુસા વર્ષ -2023માં. 01-10-23 થી તા. 05-01-24 દરમિયાન 10,46,558 બોરી-3,66,295 ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે ચાલુ સિઝનમાં તા. 1-10-24 થી તા. 05-01-25 દરમિયાન 12,40,831 બોરી-4,34,290.85 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. વર્ષ 2024માં ખરીફ સિઝનમાં મગફળીનો વાવેતર વિસ્તાર વધ્યો હોવાનું અને ઉત્પાદન વધવાનું જાણી ગયેલ વેપારીઓએ ભાવને 900 થી માંડી 1400-1500 આસપાસ ટકાવી રાખ્યો હતો. વર્ષ 2022 અને 2023માં ઓછા વાવેતરને લઈ ખેડૂતોને મગફળીના મહત્તમ 1800 થી 2000 સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે 2024માં સરેરાશ 300 થી 400 રૂપિયા જેટલા ભાવ નીચા રહ્યા હતા. જાન્યુઆરીમાં દૈનિક આવક 5-7 હજાર બોરી સુધી આવક ઘટી ગઈ છે. છતાં 2 જાન્યુઆરીએ મહત્તમ 1951નો ભાવ પડ્યો હતો અને એક સપ્તાહમાં લઘુત્તમ ભાવ 1000 થી નીચે ગયો નથી જે નવેમ્બર-ડિસેમ્બરમાં 800 હતો. અત્યાર સુધીમાં હિંમતનગર યાર્ડમાં 13,54,481 બોરીની આવક થઈ ચૂકી છે જે ગત વર્ષની સરખામણીમાં 39.77 હજાર ક્વિન્ટલની વધુ આવક છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:01 am

રેપિયર જેકાર્ડ એસોસિએશનની આજે સચિન GIDCમાં બેઠક:મંદીમાંથી બહાર આવવા ઉત્પાદન કાપ મૂકવા જેકાર્ડ વીવર્સની તૈયારી

ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં હાલ મંદી છે. ખાસ કરીને કાપડની માંગ સતત ઘટી રહી છે, બીજી તરફ ઉત્પાદન વધારે હોવાથી ઓવરસપ્લાયની સ્થિતિ છે. જેથી રેપિયર જેકાર્ડ એસોસિએશન રેપિયર જેકાર્ડ વીવર્સ સાથે 9મીએ સાંજે 4:30 વાગ્યે સચિન જીઆઈડીસીની રોટરી હોસ્પિટલ પાસે બેઠક યોજશે, જેમાં મંદીમાંથી બહાર આવવા ઉત્પાદન નિયંત્રણ (પ્રોડક્શન કંટ્રોલ) પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે અતિઉત્પાદનના કારણે ભાવમાં ઘટાડો થાય છે અને નફાકારકતા પર સીધી અસર પડે છે. તેથી, કેટલું ઉત્પાદન કરવું અને કઈ રીતે બજારની માંગ મુજબ કાપડ તૈયાર કરવું, તેવા મુદ્દાઓ પર સભ્યોના સૂચનો લેવામાં આવશે. મિટિંગમાં ધંધામાં ટકી રહેવા માટે ધારા-ધોરણો નક્કી કરવાની પણ ચર્ચા થશે. બદલાતી બજાર પરિસ્થિતિમાં વિવર્સે કઈ રીતની વ્યૂહરચના અપનાવવી, ખર્ચ ઘટાડવા માટે કયા પગલાં લેવા અને ગુણવત્તા જાળવી રાખીને નવા ગ્રાહકો કેવી રીતે મેળવવા, તેવા મુદ્દાઓ પર વિસ્તૃત મંતવ્યો રજૂ કરાશે. આ ઉપરાંત સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સભ્ય સંખ્યા વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વધુમાં વધુ રેપિયર જેકાર્ડ વિવર્સને એસોસિએશન સાથે જોડીને સંયુક્ત નિર્ણયોથી ઉદ્યોગને સંકટમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરાશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:01 am

સિટી એન્કર:બેલ્જિયમની યુવતીએ યુરોપ ફરવા ગયા ત્યારે ભારતીય પતિને એરપોર્ટ પર જ કહ્યું ‘તું જા, હંુ અને દીકરી નહીં આવીએ’, આખરે મામલો કોર્ટમાં

સોશિયલ મીડિયા પર મળ્યા બાદ સુરતના યુવકે મૂળ બેલ્જિયમની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને બંને સુરતમાં જ સ્થાયી થયા હતા. લગ્ન બાદ તેમને પુત્રી અવતરી હતી અને બાદમાં અચાનક પત્નીનું મન બદલાયું અને તેણે બાળકીનો બેલ્જિયમનો પાસપોર્ટ પતિની જાણ બહાર કઢાવીને યુરોપીની શોર્ટ ટ્રિપ ગોઠવી હતી. પ્રવાસના છેલ્લા દિવસે પત્નીએ પતિને એરપોર્ટ પર જ કહી દીધું કે ‘હું હવે તમારી સાથે ભારત નહીં આવું. દીકરી મારી સાથે જ રહેશે.’ આખરે ટૂરિસ્ટ વિઝા પર ગયેલા પતિએ એકલા પરત ફરવું પડ્યું હતું. ભારત આવીને તેણે સુપ્રીમ કોર્ટ સુધીની લડત લડી હતી અને આખરે ફેમિલી કોર્ટમાં અરજી સ્વીકારવા સંબંધિત ચુકાદો આવ્યો હતો. પતિ તરફે એડવોકેટ ટીના શર્મા હાજર રહ્યા હતા. પત્નીએ પાસપોર્ટ કઢાવ્યા બાદ માફી માંગી ને પછી દગો દીધોદીકરીના આગમન બાદ યુવતીનું મન બદલાયું હતું અને પોતે બેલ્જિયમની હોય દીકરીનો પાસપોર્ટ પણ ત્યાંથી જ કઢાવી લીધો હતો. પાસપોર્ટ ટપાલ મારફત આવ્યો ત્યારે પતિ ઘરે જ હતો. દીકરીનો પાસપોર્ટ જોઈને તે ચોંકી ગયો હતો અને પત્નીને આ બાબતે પૂછતાં પત્નીએ માફી માંગી હતી. બાદમાં પત્નીએ યુરોપ ફરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પતિ ત્યાં સુધી સમજી જ ન શક્યો કે પત્નીના મનમાં શું રંધાઈ રહ્યું છે. પત્નીએ બેંકખાતા પણ બેલ્જિયમ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તે 2026 સુધી જીવનસાથી વિઝા પર હતી. પોતાની માતા બીમાર હોવાનું કહી પતિને બેલ્જિયમ લઈ ગઈયુરોપ ટૂર દરમિયાન તે પતિને જર્મની લઈ ગઈ હતી. માતા બીમાર હોવાનું કહી બેલ્જિયમ લઇ જઈ ત્યાં એરપોર્ટ પર પતિ પર હુમલો કરીને સ્થાનિલ લેવલે ફરિયાદ આપી દીધી હતી. બાદમાં પતિ પાસે સ્વદેશ આવવા સિવાય વિકલ્પ રહ્યો ન હતો. એડવોકેટ ટીના શર્મા કહ્યું કે ‘સુપ્રીમ કોર્ટમાં હેબિયર્સ કોપર્સ કરાઈ હતી અને કોર્ટે આદેશ આપ્યો હતો કે ફેમિલી કોર્ટમાં આ અંગેનો કેસ દાખલ કરવામાં આવે. સ્થાનિક કોર્ટમાં અગાઉ કેસ લેવાયો ન હતો. બાળકી જ્યાં રહેતી હોય ત્યાં તેના કબજા માટે અરજી કરવાની હોય છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:00 am

સચિવાલયથી મહાત્મા મંદિર સુધી દોડતી મેટ્રો, એક્સક્લુઝિવ VIDEO:અધિકારીઓએ અંદર બેસીને કર્યું રુટનું નિરીક્ષણ, 5 નવા મેટ્રો સ્ટેશનનો ફર્સ્ટ લૂક

CM ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની છે. આજે ગાંધીનગરમાં આગામી સમયમાં લોકાર્પણ થનારા નવા રેલવે સ્ટેશનોના રૂટનું નિરીક્ષણ કરતો એક વીડિયો સામે આવ્યો છે. આજે કોબાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો સ્ટેશન સુધીનો પુરો રસ્તો બતાવવામાં આવ્યો છે. હાલમાં સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલને હવે વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી આગળ વધારવામાં આવી છે. ગાંધીનગરના નવા મેટ્રો સ્ટેશનોનું નિરીક્ષણઆ વીડિયોની શરૂઆતમાં સચિવાલય સ્ટેશન દેખાય છે. ત્યારબાદ જુના સચિવાલય સ્ટેશન, ચાર રસ્તા, નવા MLA ક્વાર્ટર, ઘ-5 સર્કલનો રોડ અને અંતે સેક્ટર-16 રેલવે સ્ટેશન સુધીનો રૂટ બતાવવામાં આવ્યો છે. આમાં ચીફ સેક્રેટરી પણ મેટ્રોનું નિરીક્ષણ કરતા નજરે પડે છે તદુપરાંત ગાંધીનગરના વિવિધ સેક્ટર વિસ્તારોના દૃશ્યો પણ સમાવિષ્ટ છે. આ વીડિયો નવા સ્ટેશનોના નિરીક્ષણ અને તૈયારીઓની પ્રગતિ દર્શાવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે ગાંધીનગરના રેલ વિકાસ અને શહેરી કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોનો ભાગ છે. 2025માં મેટ્રો નેટવર્ક 1013 કિલોમીટર થયુંઅમદાવાદ મેટ્રો હાલમાં દરરોજના 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક 30-40 ટકાનો વધારો થઈ રહ્યો છે. CMએ તાજેતરમાં આપેલી માહિતી મુજબ 2014માં મેટ્રો નેટવર્ક 248 કિલોમીટર હતું, જે 2025માં વધીને 1013 કિલોમીટર થયું છે. આ મેટ્રો ટ્રેન શહેરમાં મેટ્રો રેલ વ્યવસ્થાની વધતી જતી માંગ તેમજ લોકપ્રિયતાને પૂરી કરવાની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ સુગમ બનાવશે. અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલની કનેક્ટિવિટી મળશે. મેટ્રો રેલની આ સુવિધા મુસાફરીને વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનાવશે, જેનાથી બંને જોડિયા શહેરોના નાગરિકોને મોટો ફાયદો થશે. મોદી મેટ્રોમાં બેસી અમદાવાદથી મહાત્મા મંદિર સુધી જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ 12 તારીખે ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને મહાત્મા મંદિર સુધી આવે…(સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો) મેટ્રો ટ્રેન મોટેરાથી સીધી મહાત્મા મંદિર સુધી દોડશે હાલમાં સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલને હવે વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી આગળ વધારવામાં આવી…(સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:00 am

દીકરીની નજર સામે જ દલિત જમાઇને રહેંસી નાખ્યો:પોલીસ ગાડી છોડીને ઊભી પૂંછડીએ ભાગી છૂટી,  સમગ્ર ગુજરાતને હચમચાવતો કિસ્સો

તારીખઃ 8 જુલાઈ, 2019 સમયઃ બપોરે 2:30 વાગ્યે. ગામઃ વરમોર, તાલુકોઃ માંડલ, જિલ્લોઃ અમદાવાદ ગ્રામ્ય. ‘હેલો, અભયમ ટીમ?’ ‘યસ્સ, ભાવિકાબેન ભગોરા હિયર.’ ‘ભાવિકાબેન, એક ઇન્ટરકાસ્ટ મેરેજનો કેસ આવ્યો છે. કચ્છના એક અરજદાર હરેશભાઇ સોલંકીનાં પત્ની ઉર્મિલાબેનને તેમના પરિવારજનો સાસરેથી લઈ ગયાં છે અને પરત મોકલતા નથી. અરજદાર ત્યાં આવવા નીકળી ગયા છે. તમે માંડલ પાસે વરમોરા ગામે છોકરીના પરિવારને સમજાવવા માટે પહોંચો.’ *** સમયઃ તે જ દિવસે સાંજે 5:30 વાગ્યે. માંડલ બસ સ્ટેન્ડથી ‘અભયમ’ની ગાડી અરજદાર હરેશ સોલંકી, અભયમ ટીમનાં કાઉન્સેલર ભાવિકાબેન ભગોરા, એક મહિલા પોલીસ કર્મચારી અને ડ્રાઇવર સાથે રવાના થઇ. થોડીવારમાં અભયમની ટીમ ઉર્મિલાના ઘરે પહોંચીને તેમની સાથે શાંતિપૂર્વક વાતચીત ચાલુ કરીઃ ‘જુઓ દશરથભાઈ, દીકરી પુખ્ત વયની છે. છોકરા-છોકરી બંનેએ પરસ્પર સંમતિથી લગ્ન કર્યાં છે. છોકરી એક મહિનો સાસરે રહી આવી છે. બંને એકબીજા સાથે સુખી છે. તો મોટું મન રાખો, ને આશીર્વાદ આપો. અત્યારે આપણે 21મી સદીમાં આવી જાત-પાતની વાતો કરીએ એ સારું ન કહેવાય. છોકરીના ભવિષ્યનું પણ વિચારો… છોકરો અમારી સાથે બહાર પોલીસની ગાડીમાં જ બેઠો છે. તમે હા પાડો તો એને બોલાવું, બંનેને આશીર્વાદ આપો અને દીકરીને સાસરે વળાવી દો.’ દીકરી ઉર્મિલાના પિતા દશરથસિંહ નીચું જોઇને માથું ધુણાવતા રહ્યા. પરંતુ ત્યાં બેસીને બધું સાંભળી રહેલો ઉર્મિલાનો ભાઈ ઈન્દ્રજીતસિંહ બહાર ગયો અને ફરી પાછો આવી ગયો. દશરથસિંહે કહ્યું, ‘જુઓ બેન, આમાં જ્ઞાતિમાં અમારું બહુ નીચાજોણું થયું છે. અમને એક મહિનાનો સમય આપો. સમાજના વડીલોને પૂછીને પછી નક્કી કરીએ. બધા ખુશ થતા હોય તો અમને સમાધાન કરવામાં વાંધો નથી, પણ એક મહિનો આપો.’ આ રીતે સુખદ સમાધાનની આશાએ સાંજે લગભગ પોણા સાત વાગ્યાની આસપાસ અભયમની ટીમ ઘરની બહાર નીકળી. જેવા તે લોકો ગાડી પાસે પહોંચ્યાં તે સાથે જ ક્યાંકથી આઠેક લોકો લાકડીઓ, તલવાર, ધારિયું લઇને ધસી આવ્યા. પોલીસની ગાડીની આગળ ટ્રેક્ટર, બાઇકો મૂકીને રસ્તો બંધ કરી દીધો. અભયમની ટીમને ધક્કો મારીને પછાડી દીધી અને કારનો આગળનો કાચ ફોડી નાખ્યો. હુમલાખોર પોલીસ કારમાંથી ખેંચીને હરેશ પર તૂટી પડ્યા હુમલાખોરોએ ખેંચીને કારની અંદર બેઠેલા હરેશ સોલંકીને બહાર કાઢ્યો. ત્યાં તો ઘરમાંથી છોકરીના પિતા દશરથસિંહ, તેનો ભાઈ ઇન્દ્રજીત અને અન્ય સંબંધી પુરુષો હરેશ પર તૂટી પડ્યા. ‘સ્સા… અમારી દીકરીને ભગાડી ગયો? નીચી જાતનો થઇને અમારી ઇજ્જત પર હાથ નાખ્યો? મારી નાખો સાલાને, આજે છોડતા નહીં…’ આવું બોલીને દશરથસિંહે હરેશને માથામાં ધારિયું ઝીંકી દીધું. ઉર્મિલાના ભાઇ ઇન્દ્રજીત ઉર્ફે ‘કાના’એ હરેશના ગળા પર છરાથી એક પછી એક વાર કરવા માંડ્યા. બાકીના લોકો લાકડીઓ લઇ લઇને હરેશને આડેધડ મારી રહ્યા હતા. હરેશે થોડીવાર ‘બચાવો… બચાવો…’ની બૂમો પાડી, ને થોડી વારે શાંત થઇ ગયો. ‘ધડક’ ફિલ્મ જેવો લોહિયાળ કિસ્સો ગુજરાતમાં થયો કેલેન્ડર પ્રમાણે આપણે ભલે 2026માં પહોંચી ગયા હોઇએ, પરંતુ જાત-પાત, છૂત-અછૂત, ઊંચી કોમ-નીચી કોમ વગેરેની વાડાબંધી આજે પણ એટલી જ જડબેસલાક છે. ક્યારેક ધર્મથી પણ વધુ ઊંડાં મૂળિયાં જાતિ અને કોમનાં હોય છે. તેને લઇને જ એવી લોહિયાળ હત્યાઓ થતી રહે છે, જે આપણને આપણા વિશે નવેસરથી વિચારવા પર મજબૂર કરી દે છે. આજે ‘લાલ ઇશ્ક’ના પાંચમા અને છેલ્લા એપિસોડમાં આપણે આજથી છ વર્ષ પહેલાં અમદાવાદની નજીક જ બનેલા એવા લોહિયાળ ઘટનાક્રમ વિશે વાત કરવાની છે, જે ફિલ્મી પડદે દેખાતી ‘ધડક’ કે ‘સૈરાટ’ જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દે. આ ઘટનાના પડઘા ગુજરાત સહીત દેશભરમાં પડ્યા હતા અને ગુજરાતની વિધાનસભાથી લઈને દેશની સંસદ સુધી આની ચર્ચા થઈ હતી. એ ઘટનાક્રમ વિશે ડિટેલમાં જાણીએ અને આશા રાખીએ કે એવી ઘટનાઓ હવે ભવિષ્યમાં ક્યારેય રિપીટ ન થાય. અભયમની ટીમે પણ જીવ બચાવવા ભાગી છૂટવું પડ્યું સેંકડો લોકોની હાજરીમાં ઉર્મિલાના પિતા-ભાઇ અને અન્ય સંબંધીઓએ નિર્દોષ હરેશ સોલંકીને પોલીસની હાજરીમાં રહેંસી નાખ્યો. એમના પર રીતસર શેતાન સવાર થઇ ગયો હતો. આ હુમલાથી હેબતાઈ ગયેલી ‘અભયમ’ની ટીમે પણ જીવ બચાવવા માટે ઘટનાસ્થળેથી ભાગી છૂટવું પડ્યું. તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ અને 15 મિનિટમાં માંડલ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો. પોલીસ પહોંચી ત્યારે હરેશ સોલંકીનો ચૂંથાયેલો દેહ લોહીના ખાબોચિયામાં નિષ્પ્રાણ હાલતમાં પડ્યો હતો. પોલીસે લાશ કબજે કરી અને સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી. કોઇપણ સભ્ય માણસને થથરાવી મૂકે તેવી આ ઘટના ‘181 અભયમ’ની ટીમની હાજરીમાં જ બની હતી, એટલે તેની FIRમાં અભયમની ટીમમાં જ ફરજ કાઉન્સેલર તરીકે ફરજ બજાવતાં ભાવિકાબેન ભગોરા ફરિયાદી બન્યાં હતાં. અલબત્ત, આજે તો ભાવિકાબેને તે નોકરી છોડી દીધી છે અને કોઈ પ્રાઇવેટ જોબ કરે છે. પરંતુ દિવ્ય ભાસ્કરની ટીમે તેમની FIR મેળવી ત્યારે તેમાં ખોફનાક વર્ણન વાંચવા મળ્યું. ‘લોકો ધારિયાં, તલવાર, લાકડીઓ લઇને ધસી આવ્યા’ FIRમાં ભાવિકાબેને લખાવેલું, ‘મારું પોસ્ટિંગ ચાંગોદર પોલીસ સ્ટેશન, અમદાવાદ ગ્રામ્યમાં હતું. 8 જુલાઈ 2019ના રોજ કંટ્રોલ રૂમમાંથી અમને વર્ધી મળી કે મૂળ ગાંધીધામના અરજદાર હરેશભાઇ સોલંકીએ ફરિયાદ લખાવી છે કે તેનાં પત્ની ઉર્મિલાબેન બે મહિનાનાં પ્રેગ્નન્ટ છે. તેનાં પિયરિયાં બે મહિનાથી તેને લઇ ગયાં છે અને હવે તેને પાછી મોકલતાં નથી. હરેશભાઇનું કહેવું છે કે એમના સસરા દશરથસિંહ તેને કહે છે કે અહીં વરમોર આવીને લઈ જાઓ. આથી, હરેશભાઇએ અભયમને કૉલ કરીને વિનંતિ કરી કે, ‘તમે સાથે આવો અને મારા સસરા અને તેના પરિવારજનોને સમજાવો. મને ત્યાં એકલા જવામાં ડર લાગે છે. હું માંડલ બસ સ્ટેન્ડ આવું છું તમે પણ માંડલ બસ સ્ટેન્ડ આવો.’ ‘હરેશને માંડલ બસ સ્ટેન્ડથી લઇને અભયમની ટીમ વરમોર ગામે તેની પત્ની ઉર્મિલાના ઘરે પહોંચી. પરિસ્થિતિ જોતાં અમે હરેશને ગાડીમાં જ બેસવાની સલાહ આપી. અમે ઉર્મિલાનાં માતા-પિતા, ભાઈ અને પરિવારજનોનું 15-20 મિનિટ સુધી કાઉન્સેલિંગ કર્યું. તેમણે એક મહિનાનો સમય માગ્યો અને સમાધાન માટે તૈયારી પણ બતાવી. પરંતુ સાંજે પોણા સાત વાગ્યાની આસપાસ અમે જેવાં ઘરની બહાર નીકળ્યાં ત્યાં તો અમુક લોકો ધારિયાં, તલવાર અને લાકડીઓ લઇને ધસી આવ્યા અને અભયમની ગાડી પર હુમલો કરી દીધો. હરેશને બહાર ખેંચીને તેને રહેંસી નાખ્યો. હુમલાખોરોમાં ઉર્મિલાના પિતા દશરથસિંહ, તેમનો દીકરો ઈન્દ્રજીતસિંહ અન્ય સંબંધીઓ હસમુખસિંહ, જયદીપસિંહ, અજયસિંહ, અનોપસિંહ, પરબતસિંહ તથા હરીશચંદ્રસિંહ સહિતના લોકો સામેલ હતા.’ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે 181-અભયમ નામની 27*7 ટૉલ-ફ્રી સેવા ચલાવવામાં આવે છે, જે ગુજરાત પોલીસની '1091 હૅલ્પલાઇન'ની પૂરક સેવા તરીકે કામ કરે છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં જબરદસ્ત ઉહાપોહ મચાવી દીધો. આધુનિક ગણાતા ગુજરાતમાં પોલીસની હાજરીમાં કોઈ દલિત યુવાનને આ રીતે રહેંસી નાખવામાં આવે તે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અને કોમી એકતાની સામે ગંભીર સવાલો ઊભા કરનારું હતું. ભાઈની હત્યા થઈ ગઈ, બહેન એક્સિડન્ટમાં મૃત્યુ પામી હરેશ સોલંકીનો પરિવાર અત્યારે મહેસાણા જીલ્લામાં આવેલા ઊંઝા તાલુકાના વરવાડા ગામે રહે છે. આ શૉકિંગ હત્યાકાંડ વિશે વધુ માહિતી લેવા માટે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ વરવાડા ગામે પહોંચ્યા અને મૃતક હરેશ સોલંકીના નાના ભાઈ સંજય સોલંકી સાથે વાતચીત કરી. સંજયભાઇ પારાવાર પીડા સાથે કહે છે, ‘મારા ભાઈની તો 2019માં હત્યા થઈ ગઈ. એક નાની બહેન હતી જે અકસ્માતમાં મૃત્યુ પામી. હાલમાં અમારા પરિવારમાં હું અને માતા-પિતા જ છીએ. મારા પિતા બીમાર રહે છે. વૃદ્ધ થઈ ગયા છે એટલે નોકરીએ નથી જઈ શકતા. મમ્મી તો ઘરકામ કરે છે. હું એકલો નોકરી કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. મારો ભાઈ હરેશ ઘરનો મોટો દીકરો હતો અને તેના પગાર પર અમારું ઘર ચાલતું હતું. મારો ભાઈ હતો ત્યાં સુધી અમને કોઈ વાંધો નહોતો. પરંતુ હાલમાં ઘરની તમામ જવાબદારી મારી ઉપર છે. મારા ભાઈની હત્યા થઈ ત્યારે અમે ખૂબ ખરાબ હાલતમાં હતાં. અમે ખાતાંપીતાં પણ નહોતાં. અમારા ઘરનો મોટો ભાઈ જતો રહ્યો હતો.’ સોશિયલ મીડિયા પર પ્રેમ થયો, દુનિયાને માફક ન આવ્યો હરેશ અને ઉર્મિલા બંને એકબીજાનાં સંપર્કમાં કેવી રીતે આવેલાં? 2019ના અરસામાં અમે કચ્છના ગાંધીધામમાં રહેતાં હતાં. કારણ કે, મારા પપ્પાની પહેલેથી નોકરી ગાંધીધામમાં હતી, એટલે અમે ત્યાં સેટલ થયાં હતાં. ગાંધીધામમાં અમે ભાડાના મકાનમાં રહેતાં હતાં. મારા મોટા ભાઈ હરેશે આઠ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તે ગાંધીધામમાં જ એક લાકડાની કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. હરેશ અને ઉર્મિલા બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સંપર્કમાં આવ્યાં હતાં. ઉર્મિલા મહેસાણામાં કડી તાલુકાની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. મારો ભાઈ તેના સાહેબને અમુકવાર અમદાવાદ મૂકવા આવે ત્યારે કડીમાં ઉર્મિલાને મળવા જતો હતો.’ ‘અમારી છોકરી પાછી આપી દો, નહીંતર જીવતા નહીં છોડીએ’ ‘એક વખત ઘરમાં વાતવાતમાં હરેશે અમને ઉર્મિલા સાથે લગ્ન કરવાની વાત કહી.’ સંજયે પોતાના પરિવારમાં થોડા સમય માટે આવેલી એ ખુશીની પળો વિશે વાત કરતાં કહ્યું, ‘અમે છોકરી વિશે બધું જાણ્યું અને અમે અમારા ભાઈને સમજાવ્યો કે તારા પ્રેમની અમને કદર છે, પણ તું જ વિચાર, એ લોકો રાજપૂત છે, અને આપણે દલિત કહેવાઇએ. એટલે આપણે એમનામાં ન પડાય. તું લગ્ન કરવાનો વિચાર માંડી વાળ અને ઉર્મિલાને ભૂલી જા. પરંતુ હરેશે ઘરમાં અમને કહ્યું કે, ઉર્મિલા મારી સાથે છે. ઉર્મિલાએ મને ભરોસો અપાવ્યો છે કે, હું તને અને તારા પરિવારને કંઈ નહીં થવા દઉં. એટલે પછી હરેશ ઉર્મિલા સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો. હરેશ અને ઉર્મિલાએ ફેબ્રુઆરી 2019માં ભાગીને લગ્ન કર્યાં હતાં. ભાગીને લગ્ન કર્યાં એટલે વકીલ મારફતે કોર્ટનો કાગળ એમના ઘરે મોલાવ્યો હતો. કોર્ટનો કાગળ મળ્યો એટલે તરત જ તેમાંથી સરનામું લઇને ઉર્મિલાના ઘરેથી કેટલાક લોકો અમારા ઘરે આવી ચડ્યા. એમને પોતાની છોકરી ક્યાં છે એ જાણવું હતું, પરંતુ અમારો ભાઈ ક્યાં હતો એની અમને જ ખબર નહોતી, તો અમે તેમને શું જવાબ આપીએ? એ 15 દિવસ સુધી ઉર્મિલાના ઘરના લોકો અમને ફોન પર અને રુબરુ સતત ધમકી આપતા રહ્યા કે, અમારી છોકરી અમને પરત આપી દો, નહીંતર તમને જીવતા નહીં છોડીએ.’ ‘અમારા ઘરનું પાણી ન પીધું, ગ્લાસને પણ ન અડક્યા’ ‘પંદરેક દિવસ પછી હરેશ અને ઉર્મિલા અમારા ગાંધીધામવાળા ઘરમાં રહેવા આવતાં રહ્યાં. ઉર્મિલા અમારા ઘરમાં ખૂબ જ સારી રીતે રહેતી હતી. તેને અમારા પ્રત્યે ક્યારેય જાતિવાદ જેવું કંઈ હતું નહીં. મારો ભાઈ હરેશ અને ઉર્મિલા બંને એક જ થાળીમાં જમતાં હતાં. ગાંધીધામ રહેવા આવ્યાં તેના એક મહિના પછી ઈકો કારમાં ઉર્મિલાના ઘરના 15 જેટલા લોકો ઉર્મિલાને લેવા આવ્યા હતા. જેમાં ઉર્મિલાના પિતા, તેનો ભાઈ, ભાઈના સસરા, સગા મામા અને બીજા અન્ય કૌટુંબિક લોકો હતા. ઘરમાં આવ્યા એટલે ઉર્મિલા તેના પિતાને જોઈને ભેટી પડી હતી. ઉર્મિલા તેના પિતાને ગળે મળીને સતત રડવા લાગી હતી. ઘરમાં એકદમ ભાવુક વાતાવરણ બની ગયું હતું. તેઓ ઘરમાં આવ્યા અને બધા બેઠા, પરંતુ ચા-પાણી કંઈ પીધું નહીં. અમે આગ્રહ કર્યો તો એમણે કહ્યું કે, સારું, બહારથી કંઇક ઠંડું લેતા આવો. સાથે એવું પણ બોલ્યા કે, પ્લાસ્ટિકના ગ્લાસ પણ લેતા આવજો. અમને સમજાઇ ગયું કે, આ લોકો અમારા ઘરનું ચા-પાણી નહીં પીવે, કે અમારા ઘરના ગ્લાસને પણ નહીં અડકે. એટલે પછી હું બહાર દુકાનેથી બધા માટે ઠંડું અને ગ્લાસ લઈને આવ્યો.’ ‘અમે ઉર્મિલાને પાછી નહીં મોકલીએ, થતું હોય તે કરી લો’ ‘ઉર્મિલાના ઘરના લોકોએ કહ્યું હતું કે, ઉર્મિલાનાં માતા તેના વગર બીમાર પડી ગયાં છે. અન્ય ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તમે ઉર્મિલાને અમારી સાથે મોકલો. અમે 10 દિવસ પછી તેને પરત મોકલી આપીશું. એ વખતે ઉર્મિલાના પપ્પા એવું બોલ્યા હતા, 11મા દિવસે ઉર્મિલાનો ભાઈ ઈન્દ્રજીતસિંહ પોતે આવીને મૂકી જશે. આવી રીતે ઈમોશનલ બ્લેકમેઇલ કરીને, જુઠ્ઠું બોલીને તેઓ ઉર્મિલાને લઈ ગયા હતા. ત્યારે મારા ભાઈ હરેશે કહ્યું હતું કે, તમે જેટલા 10 દિવસ રાખવાના છો, તેટલા દિવસ રોજેરોજ મારી ઉર્મિલા સાથે ફોન પર વાત કરાવજો. પરંતુ તેમણે ફોન પર વાત કરાવી નહીં અને ફોન સ્વિચ ઑફ કરી દીધો. છેક 11મા દિવસે તેના ભાઈએ ફોન ઉપાડ્યો. મારા ભાઈ હરેશે કહ્યું કે, તમે લોકોએ કેમ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, અમે લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા એટલે ફોન બંધ રહ્યો હશે. હવે લગ્ન પતી ગયાં છે એટલે ફોન ચાલુ કર્યો છે. પછી મારા ભાઈએ કહ્યું કે, તમે કહીને ગયા હતા કે, 10 દિવસ બાદ ઉર્મિલાને મૂકી જઈશું, તો પછી કેમ મૂકવા આવ્યા નહીં? તમારી વાતનું પાલન કરો અને ઉર્મિલાને ગાંધીધામ અમારા ઘરે મૂકવા આવો. ત્યારે તેના ભાઈએ એવો જવાબ આપ્યો કે, હાલમાં તો અમારાં મમ્મી તબિયત બરાબર નથી એટલે અમે ઉર્મિલાને અત્યારે મૂકવા નહીં આવીએ. પછી 2-4 દિવસ બાદ મારા ભાઈએ ફરી ફોન કર્યો ત્યારે તેમણે અમને ઘસીને ના પાડી દીધી કે, અમે ઉર્મિલાને તમારા ઘરે નહીં મોકલીએ. અમે તો તમને જુઠ્ઠું બોલીને જ ઉર્મિલાને લેવા માટે આવ્યા હતા. તે વખતે ફોન પર થોડી બોલાચાલી થઈ. પછી અમે ફોન ન કર્યો અને સીધાં પોલીસ સ્ટેશન ગયાં. ત્યાંથી અમને એક પોલીસકર્મીએ એવી સલાહ આપી કે, અમે ફરિયાદ તો લઈ જ લઈશું, પણ આ બાબતે તમે એક વાર કોઈ વકીલને પણ મળીને સલાહ-સૂચન લઈ લો, જેથી કરીને તમને અન્ય વિકલ્પો પણ મળી રહે.’ ત્રણ-ત્રણ સર્ચ વૉરન્ટનો કોઈ જવાબ ન આપ્યો ‘અમે અંજારનાં એક મહિલા વકીલની સલાહ લીધી, જેમાં તેમણે અમને સલાહ આપી કે, આ લોકોને કોર્ટમાંથી સર્ચ વૉરન્ટ મોકલવું પડશે. અમે વકીલની સલાહ મુજબ વકીલ દ્વારા ઉર્મિલાના ઘરે સર્ચ વૉરન્ટ મોકલ્યું. પહેલું સર્ચ વૉરન્ટ મોકલ્યું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. પછી થોડા દિવસ બાદ બીજું સર્ચ વોરન્ટ મોકલ્યું ત્યારે બીજા વૉરન્ટમાં પણ આ લોકોએ ઉર્મિલાને હાજર ન કરી. બાદમાં ત્રીજું વૉરન્ટ મોકલ્યું ત્યારે પણ આ લોકોએ કોઈ જવાબ ન આપ્યો અને ઉર્મિલાને હાજર ન કરી. પછી મારા ભાઇએ વકીલની સલાહ પર ‘181 અભયમ’ હેલ્પલાઇનમાં ફોન કર્યો. સમગ્ર કેસની વિગત અમે 181ને આપી અને કહ્યું કે, તમે ઉર્મિલાનો જવાબ લેતા આવો, ત્યારે પહેલી વખત ઉર્મિલાના ઘરે એટલે કે, માંડલ તાલુકાના વરમોર ગામે 181ની ગાડી ગઈ હતી. ત્યારે ફક્ત 181ની ટીમના લોકો ગયા હતા. અમારો ભાઈ હરેશ ત્યારે તેમની સાથે નહોતો ગયો. પહેલી વખતમાં ઉર્મિલાના પિતાએ 181ને એવો જવાબ આપ્યો કે, અમે હાલમાં ઉર્મિલાને નહીં મોકલીએ, પછી મોકલીશું. પહેલી વખતમાં 181ની ટીમની ઉર્મિલા સાથે મુલાકાત નહોતી થઈ. 181ની ટીમે પૂછ્યું પણ હતું કે, ઉર્મિલા ક્યાં છે? તેને બોલાવો. ત્યારે એના પપ્પાએ એવું કહ્યું હતું કે, ઉર્મિલા ઘરે નથી. અમારા સંબંધીના ઘરે બહાર ગઈ છે. આ લોકોએ 181ની ઉર્મિલા સાથે મુલાકાત પણ ન કારાવી અને ફોન પર વાત પણ ન કરાવી. જુઠ્ઠું બોલીને કોઈક જગ્યાએ સંતાડી દીધી. આ લોકો જાણી જોઈને ઉર્મિલાને 181ની ટીમની સામે ન લાવ્યા. જો ઉર્મિલા સામે આવી ગઈ હોત તો, તે તો કહી દેત કે, ‘મારે તો હરેશ સાથે જ રહેવું છે. ચલો, મને લઈ જાઓ…’ પહેલી વારમાં 181ની ટીમ ખાલી હાથે આવી અને અમને આ બધી વાત કરી.’ ‘હરેશ, હું પ્રેગ્નન્ટ છું, તું આવીને મને લઈ જા’ ‘પછી વકીલે અમને સલાહ આપી હતી કે, ચોથા વૉરન્ટ સુધી રાહ જોઈએ. કારણ કે, ચોથા વોરન્ટમાં હથિયારધારી પોલીસ ઘરે આવે એટલે એ લોકોને છોકરીને હાજર કરવી જ પડે, અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. પછી કોર્ટ છોકરીની મરજી પર અમારી પાસે મોકલી આપે. અમે ચોથું વૉરન્ટ મોકલવાની રાહ જોવાના હતા, પરંતુ ત્રીજું વૉરન્ટ મોકલ્યા બાદ ઉર્મિલાના ભાઈએ કહ્યું હતું કે, તું ગમે તેટલાં વૉરન્ટ મોકલ, અમે અમારી છોકરીને તમારા ઘરે નહીં મોકલીએ. છતાં અમે ચોથા વૉરન્ટની રાહ જોતાં હતાં, પરંતુ તે પહેલાં જ એકવાર અચાનક ઉર્મિલાનો મારા ભાઈ પર ફોન આવ્યો અને કહ્યું કે, ‘મારે ગર્ભ રહી ગયો છે, એટલે તમે મને આવીને લઈ જાઓ. મારા ઘરના લોકો તમને કંઈ જ નહીં કરે…’ આવું કહીને આ લોકોએ સામેથી મારા ભાઈને લેવા માટે બોલાવ્યો. હકીકતમાં ઉર્મિલાના પિતાએ ખોટી રીતે ઉર્મિલાને વિશ્વાસમાં લઈને ફોન કરાવ્યો અને ખોટું બોલાવડાવ્યું કે, ‘હા, તું હરેશને બોલાવ, હું એને કંઈ નહીં કરું…’ ‘મારો દીકરો સાથે નહીં આવે, તમે ઉર્મિલાને લેતા આવો’ 8 જુલાઈ 2019 સંજય પોતાની વીતકકથા આગળ વધારતાં કહે છે, ‘એ દિવસે મારો ભાઈ, મારાં મમ્મી અને એક સંબંધી બપોરે માંડલ તાલુકાના પોલીસ સ્ટેશન પાસે પહોંચ્યાં. ત્યાં જઇને મારા ભાઈએ 181ને ફોન કર્યો. માંડલ અમદાવાદ ગ્રામ્યમાં આવે, એટલે 181ની ગાડીને અમદાવાદથી આવતાં બે-અઢી કલાક થઈ ગયા. ત્યાં સુધી મારા ભાઈ ને બધાં માંડલમાં બેસી રહ્યાં. હું અને મારા પપ્પા તો અહીં ગાંધીધામમાં ઘરે જ હતા. બે-અઢી કલાક બાદ 181ની ગાડી આવી એટલે બધી હકીકત અમે તેમને જણાવી, ત્યારે 181વાળાએ એવું કહ્યું કે, તમારા છોકરા હરેશને અમારી સાથે આવવું પડશે. ત્યારે મારાં મમ્મીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધું કે, મારો દીકરો તમારી સાથે નહીં આવે. મારા ભાઈએ પણ ચોખ્ખી ના પાડી દીધી કે, હું તમારી સાથે નહીં આવું અને કહ્યું કે, તમે ઉર્મિલાને લેતા આવો અથવા જવાબ લેતા આવો... ત્યારે લેડી પોલીસ અર્પિતાબેન એવું બોલ્યાં કે, ‘ના, તમારે સાથે આવવું જ પડશે, નિયમ છે.’ મારો ભાઈ નિયમ માનીને ગાડીમાં સાથે જવા માટે બેસી ગયો.. પરંતુ આવો કોઈ નિયમ જ નથી. જોકે જુઠ્ઠું બોલીને આ લોકો મારા ભાઈને 181 ગાડીમાં સાથે લઈ ગયા. આ 181ની ગાડીમાં ડ્રાઇવર, મહિલા પોલીસ અર્પિતાબેન, કાઉન્સિલર ભાવિકાબેન ભગોરા અને મારો ભાઈ, આ ચારેય 181 ગાડીમાં માંડલ પોલીસ સ્ટેશન પાસેથી સાંજે સાત કીલોમીટર દૂર આવેલા વરમોર ગામ જવા માટે નીકળ્યા... ત્યાં પહોંચ્યાં એટલે ભાવિકાબેન અને મહિલા પોલીસ અર્પિતાબેન બંને ઉર્મિલાના ઘરે ગયાં. મારો ભાઈ અને ડ્રાઈવર બંને ગાડીમાં બેસી રહ્યા. આ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો તો તેણે જણાવ્યું કે, હજી અમે હમણાં જ પહોંચ્યાં છીએ. પોલીસવાળાં બહેન અંદર ઘરમાં ગયાં છે. એ લોકો આવે એટલે પછી ફોન કરું. આ મારી મારા ભાઈ સાથેની છેલ્લી વાતચીત હતી. તે સમયે મારી પાસે જિઓનો કીપેડ વાળો ફોન હતો, જે બગડેલો હતો. એટલે અમુક વાર બંધ થઈ જતો હતો. એ રાત્રે હું ફોન ચાર્જિંગમાં મૂકવાનું પણ ભૂલી ગયો હતો. એ બનાવની રાત્રે મારાં મમ્મીએ મને ઘણા ફોન કર્યા પરંતુ મારો ફોન સ્વિચ ઑફ આવતો હતો. મારા ભાઈ અને મમ્મી સાથે અમારા એક સંબંધી કાકા સાથે ગયા હતા. તેમણે મારા મોટા પપ્પાને ફોન કર્યો. અને તેમણે પછી મને ફોન કર્યો.’ ‘જલદી આવી જા, હરેશને તેનાં સાસરીવાળાંએ માર્યો છે’ ‘9 જુલાઈ 2019ની સવારે જ્યારે 8 વાગ્યે હું નોકરી પર જઈને બેઠો જ હતો અને અડધો કલાક પછી મારા મોટા પપ્પાનો મારી પર ફોન આવ્યો અને કહ્યું કે, તું તાત્કાલિક ઘરે આવ. તારા ભાઈને તેના સાસરીવાળાઓએ થોડો માર્યો છે એટલે તેને પાટાપીંડી કરીને આપણા વતન વરવાડા ગામે લાવ્યા છીએ, એટલે તું અને તારા પપ્પા ઊંઝાના આપણા વરવાડા ગામડે પહોંચો. મારા ભાઈને મારી નાખ્યો છે એવું નહોતું કહ્યું. પછી અમે ગાંધીધામથી અહીં વરવાડા આવવા નીકળ્યા. અહીં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે, મારો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો. ત્યારે હું અને મારા પપ્પા ખૂબ રડ્યા હતા. લગભગ આઠ દિવસની અંદર પોલીસે તમામ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.’ પોલીસની હાજરીમાં હરેશની અંતિમક્રિયા કરવી પડી ‘બનાવની જાણ મારા મમ્મીને રાત્રે 8 વાગ્યે થઈ હતી. જ્યારે પોલીસે આવીને કહ્યું, ત્યારે મારાં મમ્મી સાથે આખી રાત પોલીસ બેસી રહી હતી. પોસ્ટમોર્ટમ થયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે મારા ભાઈની લાશ માંડલથી અંદાજે 100 કિલોમીટર દૂર ઊંઝા અમારા વતન લાવવામાં આવી. વચ્ચે એમ્બુલન્સમાં મારા ભાઈની લાશ તેની સાથે મારાં મમ્મી અને અમારા સંબંધી અને આગળ પોલીસની બે ગાડીઓ અને પાછળ પોલીસની બે ગાડીઓ હતી. જ્યાં સુધી હરેશની અંતિમક્રિયા ન થઈ ત્યાં સુધી પોલીસ અમારા ગામમાંથી હલી નહોતી.’ ઉર્મિલાને રૂમમાં પૂરી દીધી, ને બહાર હરેશને રહેંસી નાખ્યો ‘બનાવ બન્યાના 1 મહિના બાદ છોકરી ઉર્મિલાનો ફોન મારાં મમ્મી પર આવ્યો અને કહેવા લાગી કે, મમ્મી તમે આવો અને મને લઈ જાઓ, ત્યારે મારાં મમ્મીએ એવો જવાબ આપ્યો કે, તારે આવવું હોય તો તું તારી રીતે પોલીસને ફોન કર અને આવી જા. અમે કોઈ લેવા નહીં આવીએ. પરંતુ તે આવી નહીં. જોકે અમને ખ્યાલ આવી ગયો કે આ કેસની પતાવટ કરવા માટે આ બધી ચાલ રમી રહી છે. એવું પણ કહ્યું કે, આ આખા કેસમાં અમારી જમીન પણ વેચાઈ ગઈ. અમે ઘણા હેરાન થયાં. અમે કહ્યું કે, અમારો તો જીવતોજાગતો દીકરો જતો રહ્યો છે અમને કેવું થતું હશે! પછી મેં ઉર્મિલાને કહ્યું કે, જ્યારે બનાવ બન્યો ત્યારે તમે ક્યાં હતાં. તમે મારા ભાઇને બચાવવા કેમ વચ્ચે ન પડ્યાં? ત્યારે ઉર્મિલાએ જવાબ આપ્યો કે, મને ઉપરના રૂમમાં પૂરી કરી દીધી હતી અને નીચે આ બધો બનાવ બન્યો હતો, પછી હું કેવી રીતે બચાવું..? આવું કહીને થોડી વાર ઉર્મિલા રડી હતી.’ ‘આ લોકોને ફાંસી થશે તોય મારો દીકરો થોડો પાછો આવવાનો છે?’ આ તબક્કે મૃતક હરેશનાં માતા સુશીલાબેન સાથે વાતચીત કરતાં તેઓ તેમના દીકરાને યાદ કરીને રડી પડ્યાં. બનાવની રાત વિશે પૂછતાં તેમણે કહ્યું કે, ‘181માં પોલીસ સાથે ગયાં પછી હરેશ સાથે ફોન પર એક જ વાર વાત થઈ હતી અને કહ્યું હતું કે, ઉર્મિલાના ઘરની અંદર વાતચીત ચાલુ છે, પછી ફોન કરું. પરંતુ પછી લાંબો સમય થઈ ગયો છતાં મારા દીકરાનો ફોન આવ્યો જ નહીં. અમે ફોન કર્યો તો ફોન સ્વિચ ઑફ આવતો હતો. અમારા દિયર અમારી સાથે હતા. તેમને કોઇકે કહ્યું કે, વરમોર ગામમાં આવું થયું છે તમે બાને લઈને માંડલ પોલીસ સ્ટેશન લઈ જાઓ. ત્યાં ગયાં તો બહુ બધી પોલીસ ભેગી થયેલી હતી. મેં પૂછ્યું કે, મારા દીકરાને શું થયું છે? ત્યારે મને કોઈએ કંઈ કહ્યું નહીં. બધા ધરપત આપતા હતા કે બા, ચિંતા ના કરો, તમારા છોકરા ને કંઈ નથી થયું. મારી સાથે લેડીઝ પોલીસ સાથે રાખી અને રાત્રે 8 વાગ્યા પછી મને જાણ કરાઈ કે, બા તમારો છોકરો નથી રહ્યો... અમારું તો જીવવું હરામ થઈ ગયું હતું. મજૂરી કરીને બંને છોકરાને મોટા કર્યા હતા. મારા દીકરા વગર મારું જીવન બરબાદ થઈ ગયું છે. બીજા દિવસે ઘટના સ્થળે મને લઈ ગયા હતા. બનાવની આખી રાત મેં કેવી રીતે કાઢી તે તો હું શબ્દોમાં વર્ણન પણ ન કરી શકું, એવી મારી રાત નીકળી હતી. પોલીસવાળા મને નાસ્તો અને પાણી બધું આપતા હતા, પરંતુ મારા ગળેથી તો પાણી પણ નહોતું ઊતરતું. આ લોકોને ફાંસી થશે તો પણ મારો દીકરો તો હવે પરત આવવાનો નથી. આ લોકોને અમે આજીવન માફ નહીં કરીએ. મારા દીકરાએ તે છોકરીને પ્રેમ કર્યો પરંતુ તે છોકરીએ મારા છોકરાને પ્રેમ ન કર્યો, એના પિયર જઈને ફરી જઈ…’ જામીન માટે આરોપીઓ છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયા 2019માં જ્યારે હરેશની સરાજાહેર હત્યા કરી દેવાઇ તેના ત્રણ મહિના પછી આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન મૂક્યા, જે રદ થયા. બાદમાં તેઓ હાઈકોર્ટ ગયા. ત્યાં પણ જામીન રદ થયા. ત્યારબાદ ચાર્જશીટ રજૂ થઈ, ત્યારે નીચલી કોર્ટમાંથી પાંચ આરોપીઓને જામીન મળ્યા. હત્યાના ચોથા મહિને પાંચ લોકો બહાર આવી ગયા હતા. તેના આધાર પર ત્રણ મહિના બાદ અન્ય ત્રણ લોકોને પણ જામીન મળી ગયા. પરંતુ તેની સામે હરેશના પરિવારજનો હાઈકોર્ટમાં ગયા અને તમામના જામીન રદ કરાવ્યા. બાદમાં આરોપીઓનાં સગાં એક આરોપીના જામીન માટે છેક સુપ્રીમ કોર્ટમાં સુધી ગયા હતા. પરંતુ સુપ્રીમે કડક વલણ અપનાવ્યું, એટલે આરોપીઓએ અન્ય લોકોના જામીન સુપ્રીમમાં ન મૂક્યા અને અત્યાર સુધી આ લોકો જેલમાં જ બંધ છે. હાલમાં કેસ નીચલી કોર્ટમાં ચાલે છે. મૃતક હરેશનો ભાઈ સંજય કહે છે, ‘મારી અને મમ્મીની જુબાની થઈ ગઈ છે. કેસનો ચુકાદો આવવાની તૈયારીમાં છે. આ લોકો અમને સમાધાન માટે ધમકી આપશે તો પણ અમે ડરવાના નથી. કોઈપણ ભોગે અમે આ લોકોને સજા કરાવીને રહીશું.’ દલિત હરેશ સોલંકીની કરપીણ હત્યાના બનાવ બાદ સરકારના સમાજ કલ્યાણ વિભાગે તેના પરિવારને 12 લાખ રૂપિયાની સહાય કરી હતી. સંજય કહે છે, ‘એ ₹12 લાખમાંથી ₹8 લાખ આવ્યા, જ્યારે બાકીના ₹4 લાખ કેસ જીતી જઈશું ત્યારે મળશે.’ આરોપીઓને આજીવન કારાવાસની પરિવારની માગ છે. તેઓ કહે છે, ‘અમે કોઈપણ કાળે આ લોકો સાથે સમાધાન નહીં કરીએ.’ ભાસ્કરે આ મામલે ઉર્મિલાના પરીવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે, થઈ ન શક્યો પરંતુ એટલી માહીતી મળી કે, ઉર્મિલા હાલ તેની માતા સાથે વરમોર સિવાયના અન્ય કોઈ ગામે સંબંધીના પરિવાર સાથે રહે છે. જ્યારે તેનો ભાઈ અને પિતા છેલ્લાં છ વર્ષથી જેલમાં બંધ છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:00 am

કેવું હશે બુલેટ ટ્રેનનું પહેલું જંક્શન?:આવતીકાલે જુઓ ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સમાં, સાબરમતી સ્ટેશનનો અદભૂત ડ્રોન VIDEO

ગુજરાતના સાબરમતી સ્ટેશનથી શરૂ થઈ બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી દોડશે. કરોડોના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટનું અમદાવાદમાં પહેલું સ્ટેશન કેવું હશે એની ઝલક માણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને જુઓ ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:00 am

ભાજપ MLAના 'પંચ'ને કયા અધિકારી સામે વાંકું પડ્યું?:કડીની વિઝિટ સમયે CMને આંખમાં એક વાત ખટકી પછી ગાંધીનગરથી શું આદેશ છુટ્યા? જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:00 am

30 સેકન્ડમાં અનાજનું ગ્રેડિંગ અને ફેક કોલની ઓળખ:ગુજરાત સરકારમાં AI ક્રાંતિ, IAS અધિકારીઓ પણ ટ્રેનિંગ લે છે

અત્યારે દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ચર્ચાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે જ દિલ્હીમાં ભારતીય AI સ્ટાર્ટ અપ્સ સાથે બેઠક કરીને તેમને સરકાર તરફથી સહયોગ મળશે તેવી ખાતરી આપી છે. ત્યારે ટેકનોલોજીમાં હંમેશા આગળ રહેતું ગુજરાત હવે AIના ઉપયોગમાં પણ આગળ છે. ગુજરાત સરકારે માત્ર AI વિભાગ જ નથી બનાવ્યો પણ સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ ઝડપથી મળે તે માટે નક્કર કામગીરી પણ શરૂ કરી દીધી છે. દિવ્ય ભાસ્કરે આ અંગે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) ના મેનેજર અંકિત સુથાર સાથે ખાસ વાતચીત કરીને જાણ્યું કે સરકારી કચેરીઓમાં AI કઇ રીતે ક્રાંતિ લાવી રહ્યું છે. અંકિત સુથાર AI અને સોફ્ટવેરને લગતું કામ સાંભળે છે. ગિફ્ટ સિટી AIનું હબ બન્યુંગાંધીનગરના ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવ્યું છે. અહીં હાલમાં 19 જેટલા સ્ટાર્ટઅપ્સ નવા-નવા સોલ્યુશન્સ બનાવી રહ્યા છે. સરકાર આ સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ અને ટેકનોલોજીના સાધનો પૂરા પાડે છે. અત્યાર સુધીમાં IAS અધિકારીઓથી લઇને સેક્રેટરી સુધીના 350થી વધુ ઉચ્ચ અધિકારીઓને માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવા નિષ્ણાતોએ ટ્રેનિંગ પણ આપી છે. AI સેન્ટરના ઉદઘાટન સમયે સરકારે નાસકોમ અને માઇક્રોસોફ્ટ સાથે ટેકનોલોજી પાર્ટનર તરીકે એમઓયુ કર્યા છે. 5 વર્ષ માટે 30 કરોડનું બજેટ પ્લાન કર્યું છે. જેમાં AI ઇનોવેશન ચેલેન્જ, ટ્રેનિંગ, યુઝ કેસ ડેવલપિંગ વગેરેનો પણ સમાવેશ થાય છે. 30 સેકન્ડમાં અનાજનું ગ્રેડિંગ થશેસામાન્ય રીતે ખેડૂતો જ્યારે APMCમાં અનાજ વેચવા જાય ત્યારે તેની ગુણવત્તા અને ભેજ તપાસવામાં ઘણો સમય લાગે છે. ઘણીવાર ભાવમાં પણ અન્યાય થવાની શક્યતા રહે છે. ફૂડ એન્ડ સિવિલ સર્વિસ વિભાગના સચિવ મોના ખંધારના માર્ગદર્શન હેઠળ ખેડા અને નડિયાદમાં એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં AI મશીન માત્ર 30 સેકન્ડમાં અનાજની ક્વોલિટી ચેક કરી લેશે જેથી ખેડૂતોને તેમના પાકનો સાચો ભાવ અને ઝડપી પેમેન્ટ મળી શકશે. આ પ્રોજેક્ટમાં 100થી વધુ ખેડૂતોને સામેલ કરાયા છે. જો આ પ્રોજેક્ટનું સારૂં પરિણામ મળ્યું તો અન્ય જગ્યાએ પણ તેનો અમલ કરાશે. રેલવે ટ્રેક પર પ્રાણી આવી જાય તો લોકોપાયલટને એલર્ટ મળશેફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ક્ષેત્રે એક સ્ટાર્ટ અપ એવું કામ કરી રહ્યું છે જેનાથી રેલવે ટ્રેક પર આવી જતાં પ્રાણીઓનો જીવ બચશે. જો કોઇ પ્રાણી રેલવે ટ્રેક પર આવી જાય તો કેમેરા અને AI લોકો પાયલટને તરત જ એલર્ટ આપશે. જેથી તે ટ્રેન રોકી શકે અને અકસ્માત સર્જાતો અટકાવી શકે. 112 પર આવતા ફેક કોલ પકડાઇ જશે!112 નંબર પર આવતી ફરિયાદોમાં ઘણીવાર ફેક કોલ્સ આવતા હોય છે. હવે AI સિસ્ટમ એ ચેક કરશે કે સામેવાળી વ્યક્તિ કયા ટોનમાં વાત કરે છે, કયા શબ્દો વાપરે છે અને તેની ગંભીરતા કેટલી છે. ગુજરાતના સુરતી, કચ્છી, મહેસાણી જેવી બોલીના અલગ-અલગ લહેકા ઓળખવા માટે પણ એક મોડલ ટ્રેન કરવામાં આવી રહ્યું છે. જો કોઇ ફેક કોલ હશે તો AI તરત એલર્ટ આપશે. આ અંગે અંકિત સુથારે કહ્યું કે, અમને ગૃહ વિભાગે આ કામગીરી આપી હતી. અમુક સિલેક્ટ થયેલી સ્ટાર્ટ અપ એન્જન્સી આના પર કામ કરી રહી છે. 112 પર કોલ આવ્યા બાદ કઇ વસ્તુમાં શું પગલાં લેવા જોઇએ તે નક્કી થશે. AI અત્યારે 100% પરિણામ નથી આપી શકતું એટલે માનવીય હસ્તક્ષેપની જરૂર પડશે. 'અમે AI સેન્ટર ઓફ એકસલેન્સમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી તથા સરકારના વિભાગોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આવકારીએ છીએ. એ પછી AIથી તેનો ઉકેલ લાવવાનો અને અમલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેથી નાગરિકોને સારી રીતે અને સમયસર સર્વિસ આપી શકાય અને ગુજરાત સરકારના કર્મચારીઓને પણ લાભ મળે.' સરકારી વિભાગમાં AIનો ઉપયોગ'અત્યાર સુધી હોમ ડિપાર્ટમેન્ટ, એગ્રીકલ્ચર, અર્બન ડિપાર્ટમેન્ટ અને સાયન્સ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાંથી 25 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ (AI પાસે આપણે શું કામ કરાવવું છે) ઓળખ્યા છે. હાલમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની ઘણી વેબસાઇટમાં ચેટ બોટ લોન્ચ કરેલું છે. અન્ય ઘણા પ્રોબ્લેમ એવા છે જેમાં ઇમેજથી ડેટા લઇને સિટીઝનના ફોર્મને સર્વિસ આપી શકીએ.' 'અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બિલ્ડિંગ પરમિશન વખતે પ્લાનની એક્યુરસી જોવાની હોય છે, GDCRના નિયમો પાળવાના હોય છે. તેમાં AIનો ઉપયોગ કરીને POC (પ્રૂફ ઓફ કન્સેપ્ટ) કરી રહ્યા છીએ. જેથી મેન્યુઅલ પ્રોસેસ ઓટોમેટિક થઇ શકે, ટાઇમ બચી શકે.' વિવિધ સરકારી વિભાગમાં AI કઇ જગ્યાએ અમલી બનાવી શકાય તેના પર કામ ચાલુ છે. એક એવી AI સિસ્ટમ ડેવલપ કરાશે જેથી કોઇ બિન અધિકૃત વાહન કોઇ જગ્યામાં ન પ્રવેશી શકે. આપણે જેને ઓથોરાઇઝ કરીએ તે જ વ્યક્તિ જ આપણી પ્રિમાઇસિસમાં આવી શકે. આ સિસ્ટમ પર ટ્રાય ચાલુ છે. આ માટે એક મોડલ તૈયાર થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે,અત્યારે વિવધ વિભાગોના નોડલ ઓફિસર્સ પ્રોબ્લેમ આપે છે. જેના પછી તેમને કેવા પ્રકારનું પરિણામ જોઇએ છે તેનો ડેટા કલેક્ટ કરીએ છીએ. એ પછી સ્ટાર્ટ અપ પોતાનો સોલ્યુશન આઇડિયા રજૂ કરે છે. AI કઇ જગ્યાએ ઇમ્પલિમેન્ટ કરી શકાય છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. 'આ સમયે ડિપાર્ટમેન્ટે આપેલા પેરામીટર એચિવ કરવાના હોય છે. એ એચિવ થયા બાદ તેને લાઇવ એન્વાયર્ન્મેન્ટમાં મૂકવામાં આવે છે. ત્યારે સિટીઝન ખરેખર એનો લાભ લઇ શકે છે. અત્યારે મુખ્યત્વે બધા આ સ્ટેજ પર છે.' અત્યાર સુધી AI રિલેટેડ કેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે તેના વિશે તેમણે કહ્યું કે, વન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, અન્ન અને પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ, કાયદા વિભાગ અને એરોસ્પેસ જેવા ઘણા ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. કુલ 23 પ્રૂફ ઓફ કોન્સેપ્ટ યુઝ કેસ પર કામ ચાલુ છે. ગિફ્ટ સિટીમાં AI એક્સપિરિયન્સ ઝોન'ગિફ્ટ સિટીમાં AIનો એક્સપિરિયન્સ ઝોન બનાવવામાં આવેલો છે. જ્યાં આવા કેસ બનતા હોય છે. એ અંગેના સ્ટાર્ટઅપ ઇન્કયુબેટ કરવા આવેલા છે. હાલમાં 19 સ્ટાર્ટઅપ છે. જે AI સેન્ટર ઓફ એક્સેલન્સનો ઉપયોગ કરીને વિવિધ ડિપાર્ટમેન્ટ માટે સોલ્યુશન બનાવી રહ્યાં છે. અહીં દરેક વ્યક્તિ વિઝિટ કરી શકે છે.' AIના ઉપયોગ માટે સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી જેવા ઉચ્ચ અધિકારીઓને પણ ટ્રેનિંગ અપાઇ છે. અંકિત સુથારે જણાવ્યું કે, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સને ટ્રેનિંગ માટે અમે સાતેક જેટલા વર્કશોપ કર્યા છે. આ ઓફિસર્સમાં સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી જેવા અધિકારીઓ સામેલ છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, નાસકોમના લીડર્સને બોલાવીને આ અધિકારીઓને AI ફન્ડામેન્ટલ શિખવાડીએ છીએ. સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની NIC, GIPLની ટીમને પણ ટેકનિકલ ટ્રેનિંગ આપી છે. કયા વિભાગમાં AIનો કેવી રીતે ઉપયોગ થાય છે તેના વિશે પણ તેમણે માહિતી આપી. 'સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પી. ભારતીએ કહ્યા અનુસાર HODમાં AIનો અમલ કર્યો છે. અમે બાયોટેકનોલોજીમાં એઆઇની મદદથી રિસર્ચ કરી રહ્યાં છીએ. GILમાં પણ AIનો ઉપયોગ થઇ રહ્યો છે. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એમ. થેન્નારસનના માર્ગદર્શન હેઠળ બિલ્ડિંગ પરમિશન માટે પણ AIનો ઉપયોગ થઇ રહ્યો છે.' તેમણે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનું ઉદાહરણ આપતા કહ્યું, આ વિભાગમાં સ્ટાર્ટઅપની પોલિસી અપલોડ કરવામાં આવે છે. જેમાં ઘણા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. દરેક ઓફિસરે દરેક ડોક્યુમેન્ટ મેન્યુઅલી ડાઉનલોડ કરવા પડે, તેનું વેરિફિકેશન કરવું પડે. જેમાં ચારેક દિવસનો સમય લાગે. 4 દિવસનું કામ કેટલીક મિનિટોમાં'અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે થોડી જ સેકન્ડમાં એક લેવલે ડોક્યુમેન્ટ વેરિફાઇ થઇ શકે એટલે કે એકવાર AI ડોક્યુમેન્ટ વેરિફાય કરે છે. એ પછી ઓફિસર મેન્યુઅલી વેરિફાઇ કરી શકે છે કે આમાં સાચું થયું છે કે નથી થયું. જેથી ચારેક દિવસનું કામ કદાચ કેટલીક મિનિટોમાં થઇ રહ્યું છે.' પહેલાં લોકોને AI મુશ્કેલ લાગતું પણ હવે ટ્રેનિંગ મળ્યાં પછી તેમને ખબર પડી કે તેનો ઉપયોગ સરળ છે. તેમણે કહ્યું, એક વર્ષ પહેલા ગુજરાત સરકારમાં AI ની કોઇ પ્રવૃત્તિ નહોતી. હવે ઘણા વર્કશોપ કર્યા છે. 350થી વધુ ઓફિસરોને ટ્રેઇન કર્યા છે. 1 હજારથી વધુ સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કર્યા છે. એનાથી 25 યુઝ કેસ ડેવલપ કર્યા છે. અત્યારે દરેક ડિપાર્ટમેન્ટ AI એડોપ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. જેનાથી લોકોને સારી સર્વિસ આપી શકે. નાગરિકોને અપાતી સેવા સરળ બને તેના પર ફોકસઅત્યારે સરકારનું ધ્યાન નાગરિકને અપાતી સર્વિસની પ્રોસેસ સરળ કરવા પર છે. આ અંગે તેમણે જણાવ્યું, નાગરિકોને અપાતી સરકારી સેવામાં ઘણા સ્ટેજ હોય છે. આ સ્ટેજને કેટલા ઓછા કરી શકાય તે મુખ્ય એજન્ડા છે. ઓફિસની કાર્યવાહીમાં પણ ઘણી જગ્યાએ ઘણા ડોક્યુમેન્ટને સમરાઇઝ કરીને ઓછા પેજ થઇ શકે છે. જેથી બધા પેજના બદલે એની સમરી વાંચીને ખ્યાલ આવી જાય કે આમાં શું છે અને જલ્દી નિર્ણય લઇ શકાય. AI સ્ટાર્ટઅપ માટે સરકાર જે પગલાં લઇ રહી છે તેની માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, AI સેન્ટર ઓફ એક્સેલન્સમાં ઇનોવેશન ચેલેન્જ ફ્લેગશિપ પ્રોગ્રામ છે. જ્યાં ભારત સરકાર દ્વારા અધિકૃત કરેલા સ્ટાર્ટઅપ ભાગ લઇ શકે છે. જેમને મેન્ટરશિપ, AI ટૂલ્સનો ઉપયોગ, કોર્સની ટ્રેનિંગ અપાય છે. 1 હજારથી વધુ સ્ટાર્ટઅપ અને MSMEને ઇન્ક્યુબેટ કરેલા છે અથવા ટ્રેનિંગ અપાયેલી છે. 10 સ્ટાર્ટઅપ AI સેન્ટર ઓફ એકસેલન્સમાં બેસે છે. જે યુઝ કેસ પર કામ કરે છે. 'ગુજરાત સરકારના વિવિધ વિભાગોની માહિતી સારી રીતે સમજીને કચ્છી, સુરતી, મહેસાણી લહેકામાં જવાબ મળે એ માટે કામ ચાલુ છે. ગુજરાતના કોઇપણ ખૂણાનો રહેવાસી પોતાની ભાષામાં પ્રશ્ન પૂછી શકે અને તેને એ જ ભાષામાં જવાબ મળી શકે.' અંકિત સુથારના મતે, AI ક્યારેય માણસનો વિકલ્પ નહીં બની શકે પણ તે હેલ્પિંગ હેન્ડ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 6:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાટણ ગ્રાહક કોર્ટનો ચૂકાદો, રૂ.13ની કેરી બેગ વસૂલનારા શોરૂમને રૂ.1,013 ચૂકવવા આદેશ

પાટણના જાણીતા વકીલ દર્શકભાઈ ત્રિવેદીએ મે 2024માં ચેન્નઈ સ્થિત ‘લાઇફ સ્ટાઇલ ઇન્ટરનેશનલ’ શોરૂમમાંથી રૂ.4,298ના કપડાંની ખરીદી કરી હતી. આ ખરીદી બાદ શોરૂમ દ્વારા કેરી બેગના ચાર્જ પેટે રૂ.13ની માંગણી કરવામાં આવી હતી. વકીલે દલીલ કરી હતી કે હજારો રૂપિયાની ખરીદી બાદ વસ્તુ લઈ જવા માટે બેગ આપવી એ સ્ટોરની પ્રાથમિક ફરજ છે, પરંતુ મેનેજમેન્ટે મચક ન આપતા આ મામલો પાટણની ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો હતો. ગ્રાહક કોર્ટે ચૂકાદો આપતાં જણાવ્યું કે, બેગ પૂરી પાડવી એ વિક્રેતાની કાયદેસરની જવાબદારી છે. સુનાવણી દરમિયાન શોરૂમે બચાવ કર્યો હતો કે પેપર બેગ લેવી એ ગ્રાહકની મરજી પર નિર્ભર છે. જોકે, કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરીએ આ દલીલ ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે, ગ્રાહકે ખરીદેલી વસ્તુ સુરક્ષિત રીતે લઈ જવા માટે બેગ પૂરી પાડવી એ વિક્રેતાની કાયદેસરની જવાબદારી છે. ભાસ્કર નોલેજ કોર્ટે કરેલો દંડ અને વળતર‎• રિફંડ: કેરી બેગના વસૂલ કરેલા રૂ. 13 નવ ટકા વ્યાજ સાથે પરત કરવા.• વળતર : ગ્રાહકને થયેલા માનસિક ત્રાસ અને કાયદાકીય ખર્ચ પેટે રૂ. 1,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગ્રાહક તરીકે તમારા હકો વિશે જાણો‎• બ્રાન્ડેડ બેગ મફત: જો કેરી બેગ પર કંપનીનો લોગો કે જાહેરાત‎છાપેલી હોય, તો તેના પૈસા ક્યારેય વસૂલી શકાય નહીં.‎• વેચાણ પછીની સેવા : વસ્તુ વેચ્યા પછી તેને ગ્રાહક ઘરે લઈ જઈ શકે‎તેવી વ્યવસ્થા કરવી એ ‘સર્વિસ’નો જ એક ભાગ છે.‎• ફરિયાદ ક્યાં કરવી : જો કોઈ વેપારી તમારી પાસેથી ગેરકાયદેસર‎રીતે બેગના પૈસા વસૂલે, તો તમે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી શકો‎છો‎

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:59 am

ખજોદ ‘કચરા કૌભાંડ’:કચરો વેચી દેનારી એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો છતાં કામગીરી ચાલુ, 16 કરોડનાં પેમેન્ટ પર બ્રેક

ખજોદ ડિસ્પોઝલ સાઇટ પરથી બારોબાર શહેરથી 70 કિલોમીટર દૂર મહુવાના આંબલિયા ગામે ખાનગી જમીન પર ધંધાકીય હેતુ માટે કચરો વેચી દેવાના કૌભાંડમાં એજન્સી સી.ડી. ટ્રાન્સપોર્ટને અત્યાર સુધીમાં પાલિકાએ કુલ 2.50 કરોડનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં પણ 16 કરોડના ચૂકવણા પર બ્રેક મારી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે, સી.ડી. ટ્રાન્સપોર્ટ સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. જેને આ મુદ્દે માત્ર 10 લાખનો દંડ ફટકારીને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ બચાવી રહ્યા છે. આ કૌભાંડ માત્ર એક કોન્ટ્રાક્ટરની મનમાની નથી, પરંતુ તેમાં પાલિકાના જવાબદાર અધિકારીઓની સંડોવણી પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. નવા કોન્ટ્રાક્ટમાં વિલંબ કરી કામગીરી ચાલુ રખાઈજૂનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં નવી પ્રક્રિયામાં વિલંબ કરી આ જ એજન્સી પાસે કામ ચાલુ રખાયું હતું. નવા ટેન્ડર માટે પ્રક્રિયા કરાઇ હતી. જો કે, કોઇએ રસ ન દાખવ્યો હોવાની માહિતી મળી રહી છે. ઇજનેર કાકલોતરને શોકોઝ નોટિસ અપાશેઆ પ્રકરણમાં એન્વાયર્નમેન્ટ ઇજનેર શરદ કાકલોતર સામે શો કોઝ નોટિસ સહિતની કાર્યવાહી કરવા તૈયારી શરૂ કરી છે. સવાલ એ છે કે, માત્ર દંડ વસૂલવાથી નુકસાન ભરપાઈ થશે? જવાબદારો સામે ખાતાકીય તપાસ કેમ નથી કરાઈ? 3 વર્ષમાં અડધું કામ ન કર્યું છતાં 107 કરોડ ચુકવાયાસોલિડ વેસ્ટનો 213 કરોડનો મલાઇદાર કોન્ટ્રાકટ લેનાર સીડી ટ્રાન્સપોર્ટે ટેન્ડરની મૂળ શરતોનું જ ઉલ્લંઘન કર્યું હતું. ટેન્ડર મુજબ રોજ 2500 ટન અને 3 વર્ષમાં 30 લાખ ટન વેસ્ટનું પ્રોસેસિંગ કરવાનું હતું, જોકે 15 લાખ ટન પણ થયું નથી. આમ છતાં 3 વર્ષમાં 107 કરોડ ચુકવી દેવાયા છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:57 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગેરકાયદે જોડાણોને બાયપાસ કરવામાં ગટરની ચેમ્બરમાંથી પાણીની લાઈન પસાર કરી દેવાઈ

સહારા દરવાજાના સોનિયા નગરમાં ગેરકાયદે જોડાણોને બાયપાસ કરવાના ચક્કરમાં પીવાના પાણીની લાઈન ગટરની ચેમ્બરમાંથી પસાર કરી દેવાઇ હતી. જો લીકેજ થાય તો ગટરનું પાણી ઘરે ઘરે પહોંચી 1 હજારથી વધુ લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે સ્થાનિકોએ રાજ્ય સરકારમાં પણ ફરિયાદ કરતાં CMOમાંથી ડેપ્યુટી કલેક્ટરને જાણ કરાતાં તેમણે ઝોનલ અધિકારીને પૂછતાછ કરી નિવેડો લાવવા તાકીદ કરી હતી. રહીશોનો આક્ષેપ છે કે ‘ગંદા પાણીથી બાળકો બીમાર પડી રહ્યાં છે છતાં શુદ્ધ પાણી મળતું નથી.’ બીજીતરફ દૂષિત પાણીના 120 હોટસ્પોટ નક્કી કરી સર્વેલન્સ વધારવાના દાવા વચ્ચે પાલિકાએ આ મુદ્દે પણ સર્વે કરવો જરૂરી છે. સર્વેલન્સ વધારવાના દાવા વચ્ચે નવો વિવાદ બહાર આવ્યોસાનિયાનગરમાં મોટા પાયે પાણીના ગેરકાયદે જોડાણો છે, જેને બાયપાસ કરીને આ નવી લાઈન નાખી હતી, જેથી એકસાથે આ તમામ જોડાણો બંધ થઈ જાય. જો કે, આ ઘટના બાદ હવે પાલિકાએ શહેરમાં ક્યાં ક્યાં આવા લોચા મરાયા છે તેનો પણ સર્વે કરવો પડે એવી સ્થિતિ છે. કોન્ટ્રાક્ટરની ભૂલ છે, શોકોઝ નોટિસ આપી છેઅહીં ગેરકાયદે જોડાણો, જૂની લાઇન બદલવા નવી લાઇન નાંખી હતી. જોકે કોન્ટ્રાક્ટરની ભૂલ હોવાથી તાત્કાલિક કામગીરી અટકાવી છે. સપ્લાય શરૂ કરાયો નથી. પાણીની ગુણવત્તા ઓકે છે. કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. > વિપુલ ગણેશવાલા, ઇજનેર, લિંબાયત ઝોન

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:55 am

ભાસ્કર વિશેષ:પાલતુ શ્વાન રાત્રે ભસતો હોઇ 2 પડોશી પરિવારો વચ્ચે મારામારી, 181 અને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

મહેસાણા નજીકના ગ્રામ્ય વિસ્તારની એક સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતી આવતી અનબણ એકવાર ફરી ઉગ્ર બની હતી. ભૂતકાળના વિવાદને ભૂલીને શાંતિપૂર્વક જીવન જીવવા ઇચ્છતા એક પરિવાર સામે પાડોશી પરિવાર નાની-નાની બાબતોને લઈ વારંવાર ઝગડાનો માહોલ ઊભો કરતો હોવાનું સામે આવ્યું છે. ઝગડાથી દૂર રહી પરિવાર સાથે શાંતિથી જીવન પસાર કરવા માગતી એક મહિલાને છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો હતો. તાજેતરમાં મોડી રાત્રે મહિલાના ઘર આગળ રહેતો એક શ્વાન સતત ભસતો રહેતાં બીજા દિવસે સવારે આ બાબતે પાડોશીએ ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. રોજિંદી માથાકૂટથી કંટાળેલા મહિલાના પરિવારે સામે જવાબ આપતાં મામલો થોડી જ વારમાં ગંભીર બની ગયો અને બંને પક્ષો વચ્ચે મારામારીની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વણસતી જોતા મહિલાએ તાત્કાલિક 181 અભયમ ટીમનો સંપર્ક કરી મદદ માંગી હતી. 181ની ટીમ સ્થળ પર પહોંચી બંને પક્ષોની વાત સાંભળી કાઉન્સલિંગ શરૂ કર્યું હતું. જોકે, અનેક પ્રયાસો છતાં સમાધાન શક્ય ન બનતાં મામલો કાયદાકીય દિશામાં વળ્યો હતો. આ બાદ 181ની ટીમની મદદથી પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ અને 181ની ટીમે પાડોશીને કાયદાનું ભાન કરાવતા ઉશ્કેરાયેલા પાડોશીને પોતાની ભૂલની ગંભીરતા સમજાઈ હતી. પોતે અજાણતા જ ગંભીર ગુનાની દિશામાં આગળ વધી રહ્યો હોવાનું સમજાતાં અંતે પાડોશીએ મહિલાની માફી માંગી હતી. સાથે જ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય નહીં કરે તેવી લેખિત બાંહેધરી પણ આપી હતી. પાડોશી સંબંધોમાં સહનશીલતા અને સમજદારી અત્યંત જરૂરી છે નાની બાબતોને લઈ ઉભા થતા ઝગડા સમયસર સંભાળવામાં ન આવે તો મોટા વિવાદમાં ફેરવાઈ શકે છે. જ્યારે સંયમ અને સમજદારીથી વાતચીત થકી સમસ્યાનો ઉકેલ શક્ય બની શકે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:55 am

આશીર્વાદરૂપ બની 181 મહિલા હેલ્પ લાઇન:અરવલ્લી અભયમ 181ને વર્ષમાં 2096 કોલ મળ્યા

અભયમ 181 મહિલા હેલ્પ લાઇન અરવલ્લી જિલ્લાની પીડિત મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. જિલ્લામાં અભયમ 181ને ગત વર્ષ દરમિયાન કુલ 2096 કોલ મળ્યા હતા. જેમાં સૌથી વધુ ઘરેલુ હિંસાના 953 કોલ મળ્યા હતા. તદઉપરાંત મહિલા અને યુવતીઓને બિનજરૂરી કોલ મેસેજના 20 કોલ મળ્યા હતા. અનેક કિસ્સાઓમાં સમયસર પહોંચી મહિલાઓ યુવતી અને સગીરાઓને સુરક્ષા પૂરી પાડનાર અરવલ્લી અભયમ 181 હેલ્પ લાઈન મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ માટે એક સાચી સહેલી બની રહી છે. 181 અભયમની ટીમ તાબડતોડ સ્થળ પર પહોંચી 471 કિસ્સાઓમાં અભયમ રેસક્યુ વાન ડિસ્પેચ, સમાધાન 255 અને 196 મહિલાઓને બચાવ એજન્સીઓમાં રિફર કરાઇ હતી. કસ્ટડીના 66, ઘરેલુ હિંસાના 953 લગ્ન જીવનના વિખવાદો 90, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના 73, શારીરિક, માનસીક, જાતીય હેરાનગતિના 381, પરિવાર છોડેલ 57, અન્ય સંબંધોના 41, કાયદાકીય માર્ગદર્શન 68, બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિના 20 અને અન્ય મહિલા લક્ષી પ્રશ્નોના 284 જેટલા કોલ આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:53 am

આજથી 3 દિવસ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું:સ્ટેશન સહિત 19 રૂટ પર બીચ સુધી સિટી બસ દોડશે

વહીવટીતંત્ર 9થી 11 જાન્યુઆરી સુવાલી કાંઠે બીચ ફેસ્ટિવલનું આયોજન કરશે, જેને 9મીએ સાંજે 5 વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખુલ્લો મુકશે. આ ફેસ્ટિવલમાં 130 સ્ટોલ્સ, ફોટો કોર્નર, પતંગબાજી, સહિતનાં આકર્ષણો હશે. આ ત્રણ દિવસ સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી ઈચ્છાપોર હાઇવેથી મોરા ચોકડી થઈ એલ એન્ડ ટીથી સુવાલી સુધીના રૂટ પર વન-વે રહેશે, જેમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. સહેલાણીઓ માટે ત્રણેય દિવસ 19 રૂટ પર સિટી બસની વ્યવસ્થા છે, જે ઇસ્કોન સર્કલ, મોરાભાગળ, પાલ RTO, કામરેજ, સરથાણા, વરાછા, વીઆઈપી સર્કલ, કતારગામ, સચિન, ભેસ્તાન, પાંડેસરા, ઉધના, મજૂરા ગેટ, સુરત સ્ટેશન, બોટનિકલ ગાર્ડન, પિયુષ પોઈન્ટ, મક્કાઈ પુલ અને ડિંડોલીથી મળી રહેશે. ખાણીપીણી, એડવેન્ચર્સ સ્પોર્ટ્સ, સંગીતની રમઝટ માણી શકાશે એડવેન્ચર્સ સ્પોર્ટ્સસાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ રહેશે. ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ અને બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન હશે. સેલ્ફી પોઈન્ટપરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટે મનોરંજન ઝોન હશે. ફૂડકોર્ટસ્વાદપ્રિય સુરતીઓ માટે વિવિધ ફૂડકોર્ટ પર નાગલીની વાનગી, ડાંગી ડિશ, ઉબાડિયું, મિલેટ ફૂડ જેવી પરંપરાગત અને અવનવી વાનગીઓનાં 130 ફૂડ સ્ટોલ તેમજ શોપિંગ કરવા માટે ક્રાફ્ટ સ્ટોલ ઊભા કરાયા છે. મ્યુઝિકસાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, સંગીતની અને દરિયાકિનારાનો આહ્લાદક માહોલ માણી શકાશે. સુવાલી બીચ ફેસ્ટિવલમાં પહેલા દિવસે શુક્રવારે સાંજે 5:30 વાગ્યે ઓસમાણ મીર અને આમીર મીર, શનિવારે સાંજે 7.00 વાગ્યે ભૂમિ ત્રિવેદી અને રવિવારે સાંજે 7.00 વાગ્યે સાંત્વની ત્રિવેદી સુવાલીના દરિયા કાંઠે સૂરોની રમઝટ બોલાવીને સંગતીથી સુરતીઓનું મનોરંજન કરશે. ક્રાર્યક્રમ સ્થળે ટ્રાફિક અને પોલીસના 800 જવાનો તૈનાત કરાશે. ફાયર બ્રિગેડ, તરવૈયા, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય હશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:53 am

ભાસ્કર એક્સક્લુસિવ:રામકથા જ આપણને એક થવાનું શીખવે છે

મોડાસા પાસે આનંદપુરા કંપામાં પૂ. કથાકાર પૂજ્ય સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજના વ્યાસપીઠે રામચરિત માનસનો કથા રસપાન માટે શ્રોતોઓનો મહેરામણ ઉમટી પડતાં પાંચમા દિવસની કથામાં પણ જાણે મિનિ કુંભ ભરાયો હોય એમ ખીચોખીચ મંડપ ભરાઈ ગયો હતો. પૂ. સ્વામી જનાર્દન હરિજી મહારાજે કથાનું રસપાન કરાવતા કહ્યું કે પારસમણી લોખંડને સોનું બનાવી દે એમ રામકથાનો ભાવ કથા વસ્તુ એના સંસ્કાર વિચારો સ્પર્શ કરે એનું જીવન બદલાઈ જાય. ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પ્રભુની કથા જ આ કરી શકે. વધુમાં તેમણે આપણા બાળકોને બચપણથી જ સંસ્કાર આપીએ,ઘડતર કરીએ, ધર્મની વાતો અને નાની કથાઓ બાળકના કાને પડવા દો જુઓ એનામાં એના સંસ્કાર મળ્યા વિના નહીં રહે. અનેક નામમાં આપ એક જ છો પ્રભુ આ ભાવ સાથે એક થઈને નેક થઈને જીવીએ. આ ભાવ જગાડો.! રામકથા જ આપણને એક થવાનું શીખવે છે પંથ ભલે ભિન્ન ભિન્ન હોય પણ આપણે હિન્દુ બધા એક છીએ. રામકથા જોડવાની કથા છે એક થઈ સંપ અને ત્યાગ સહિષ્ણુતા અને ભાવ પ્રેમની કથા છે. આપણો પ્રેમ ભાવવાહી મજબૂત હોવો જોઈએ. અગત્સય મુનિજી એ પણ રામ નામનો મહિમાને વિસ્તૃત સમજાવ્યો છે ભગવાન શ્રી રામજી દંડકારણ્ય વનમાં પ્રવશ્યા છે. ત્યાં સુધીની સવારની કથા ગાન કર્યું હતું જેમાં પૂજ્ય મહારાજે શૂર્પણખાનો પ્રસંગ ખૂબ સુંદર રીતે વર્ણવ્યો હતો. ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસના અરણ્યકાંડના 20મા દોહાની ત્રીજી, ચોથી અને પાંચમી ચોપાઈમાં શૂર્પણખાનો રોષ વ્યક્ત કર્યો છે. શૂર્પણખા અને લક્ષ્મજીએ દોરેલી લક્ષ્મણ રેખા આ બંને પ્રસંગને વેશભૂષા સાથે અદ્ભુત હૂબહૂ રજૂ કરાયો હતો. આ કથા સીતાજી હરણ સુધી સવારની કથાએ વિરામ લીધો હતો. પૂજ્ય સ્વામી જનાર્દન હરિજી મહારાજ દ્વારા અનેક પ્રસંગોનું અત્યંત હૃદયસ્પર્શી અને ભાવવિભોર વર્ણન કરાયું હતું. આનંદપુરા કંપાના કથા આયોજક મગનભાઈ કરમશીભાઈ પોકાર,ગંગાબેન મગનભાઈ પોકાર અને એમના પુત્રો પ્રવિણભાઈ,નવીનભાઈ અને અરવિંદભાઈ તેમજ સમગ્ર પોકાર પરિવાર દ્વાર આયોજિત આ રામચરિત કથામાં સૌ ગ્રામજનોનો સહિત સૌનો સાથ સહયોગ મળી રહ્યો છે. કથામાં સમગ્ર સંચાલન રમેશભાઈ વી. ચૌધરી કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:51 am

26હજાર ખેડૂતો સહાયથી વંચિત:હિંમતનગર તાલુકાના 26હજાર ખેડૂતોને પાક વીમાનું પૂરું વળતર હજુ મળ્યું નથી

વર્ષ 2019માં અતિવૃષ્ટિને કારણે ખરીફ મગફળીને વ્યાપક નુકસાન થયા બાદ હિંમતનગર તાલુકાના 26019 ખેડૂતોનો 36 ટકા પાક વીમો મંજૂર થયો હતો. પરંતુ 6 વર્ષ બાદ પણ ખેડૂતોને પૂરું વળતર મળ્યું નથી. અત્યાર સુધીમાં મળવાપાત્ર કુલ 16.77 કરોડ માંથી વીમા કંપનીએ પોતાના હિસ્સાના 12.57 કરોડ 25544 ખેડૂતોને ચૂકવ્યા છે જ્યારે 475 ખેડૂતોના અવસાન સહિતના કારણોસર રૂ.38.20 લાખ ચૂકવવાના બાકી છે. 8.60 ટકા પ્રમાણેની રાજ્ય સરકારની સબસિડીની રકમ રૂ.4.19 વીમા કંપનીને મળી ન હોવાથી વિમાનું પ્રિમિયમ ભરવા છતાં ખેડૂતોને ક્લેઈમની પૂરી રકમ મળી નથી. ખેડૂતોને ધિરાણ આપવા દરમિયાન પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના અંતર્ગત સંલગ્ન બેંકોએ પ્રિમિયમ કાપી લઈ સરકારને મોકલી આપ્યા બાદ વર્ષ 2019 માં અતિવૃષ્ટિને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોએ કરેલ ક્લેમ અંતર્ગત 36 ટકા લેખે નુકસાનની ભરપાઈ કરવાની થતી નથી. તેમાં હિંમતનગર તાલુકાના 26019 ખેડૂતોનો ક્લેમ મંજૂર થયો હતો અને કુલ ચૂકવવા પાત્ર રકમ રૂ.16.77 કરોડ જેટલી થતી હતી. પરંતુ 2024 સુધી ખેડૂતોને વળતર ચૂકવાયું ન હતું. હિંમતનગર સંયુક્ત સેવા સહકારી મંડળીના પ્રમુખ રવિ પટેલે જણાવ્યું કે કૃષિ મંત્રી અને સરકારમાં અનેકવાર રજૂઆતો બાદ વીમા કંપનીએ એક વર્ષ સુધી ચૂકવણું કર્યું હતું અત્યાર સુધીમાં વીમા કંપનીએ તેના હિસ્સાના રૂ.12,19,56,889 ચૂકવ્યા છે. 475 ખેડૂતોના રૂ.38,20,865 અવસાન સહિતના કારણોસર ચૂકવાયા નથી. તેના માટે પણ અવારનવાર રજૂઆતો કરતા હવે તેમના વારસદારોને ચૂકવવા સંમતિ સધાઈ છે. પરંતુ સરકારને 8.60 ટકા લેખે રૂ.4.19 કરોડ જેટલી સબસિડી વીમા કંપનીને ચૂકવવાની હતી તે રકમ વીમા કંપનીને ન મળતાં ખેડૂતોને 6 વર્ષે પણ વીમાની પૂરી રકમ મળી નથી. આ મામલે હાઈકોર્ટમાં જવાનો મંડળીઓ દ્વારા નિર્ણય લેવાયો છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:51 am

શામળાજી મહોત્સવનો પ્રારંભ:આજે મુખ્યમંત્રી 167.85 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે

યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો ગુરુવારે રંગેચંગે શુભારંભ થયો હતો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. સંગીતકાર ઓસમાણ મીરના દમદાર અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મંત્રી પી.સી.બરંડાએ જણાવ્યું કે આજે આ પવિત્ર શામળાજીની ધરતી પર આપ સૌને જોઈને મને અપાર આનંદ થાય છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર આપણને એકતા અને સદભાવનાનું સંદેશ આપે છે. આજે બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. 167.85 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. સાથે જ શામળાજી ગુજરાતના ખ્યાતનામ કલાકાર કિંજલ દવે સહિતના કલાકારો દ્વારા ઉજવાશે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:50 am

અંતિમ ચરણમાં પહોંચી SIRની કાર્યવાહી:સાબરકાંઠામાં 1 લાખ મતદારોના નામ યાદીમાંથી રદ થવાનું નક્કી

એસઆઈઆર પ્રક્રિયા હવે હવે અંતિમ ચરણમાં પહોંચી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભામાં એકંદરે 1 લાખ મતદારના નામ યાદીમાંથી રદ થવાનું લગભગ નક્કી થઈ ગયું છે. જિલ્લામાં મૃતક, કાયમી સ્થળાંતર, ગેરહાજર, બે જગ્યાએ નામ અને અન્ય મળી કુલ 99991 મતદાર સંખ્યા છે તો 28218 મતદારોને નો મેપિંગ શ્રેણીમાં મૂકાયા છે. તેની સામે છેલ્લા 17 દિવસમાં માત્ર 17436 ફોર્મ ભરાયા છે. જેમાં 5294 ફોર્મ 18-19 વર્ષના નવા મતદારના છે. જોકે, 5 થી 7 હજાર જેટલા નવા યુવા મતદારોના નામ તેમાં દાખલ થશે તેવુ મનાઇ રહ્યું છે. એસઆઈઆરનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ જાહેર થયેલ ડ્રાફ્ટ એસઆઈઆરમાં સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભામાં સમાવિષ્ટ કુલ 11,61,128 મતદાર પૈકી 33117 મતદારોનું મૃત્યુ, 11580 મતદાર મળી ન આવવા, 44882 મતદારોનું કાયમી સ્થળાંતર, 9181 મતદારોનો બબ્બે મતદાર યાદીમાં સમાવેશ અન્ય 1031 મતદાર મળી કુલ 99991 મતદારોનો સમાવેશ મતદાન યાદીમાં થયો ન હતો. સર યાદી જાહેર થયા બાદ 17 દિવસમાં 18-19 વય જૂથમાં 5294 અને 20 થી 29 વયજૂથમાં 3327 મળી કુલ 8621 જેટલા ફોર્મ નં-6 ભરાયા છે. તો નામ કમી કરાવવા 905 જેટલા ફોર્મ નં- 7 ભરાયા છે. જ્યારે ફોર્મની વિગતો અને 2002ની મતદાર યાદીની વિગતો મેચ ન થવી અથવા તો સુધારા માટે 6557 જેટલા ફોર્મ નં- 8 ભરાયા છે. પ્રતિદિન જિલ્લામાં 15 ઈઆરઓના માધ્યમથી 40 થી 50 ને સુનાવણી માટે બોલાવાઇ રહ્યા છે. આ સુનાવણી 10 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:49 am

શહેર માટે પાણીદાર પગલું:ન્યારી બાદ આજી-1 ડેમ પર 75 MLDનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર

રાજકોટ શહેરની વધતી વસતી અને સતત વધી રહેલી પાણીની માંગને ધ્યાને લઇ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ન્યારી ડેમ પર 150 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ગત વખતે મંજૂરી આપ્યા બાદ હવે આજી-1 ડેમ ખાતે 75 એમએલડી ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) અને પાઇપલાઇનનો મોટો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. રૂ.60.48 કરોડના ખર્ચે બનનારો આ પ્લાન્ટ સેન્ટ્રલ અને પૂર્વ ઝોન માટે ભવિષ્યની પાણી સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ બનશે. સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં એજન્ડા પર રહેલી 66 દરખાસ્તમાંથી 63ને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે ત્રણ દરખાસ્ત મોકૂફ રાખવામાં આવી છે. કુલ મળીને રૂ.210 કરોડથી વધુના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આજી ડેમના 1958થી 2026 સુધી પાણીના ઇતિહાસની વિગતો આપી હતી. ડોગ બાઈટમાં વિસ્ફોટ | 2025માં 16000થી વધુ કેસ: માધાપરમાં નવું ડોગ ફ્રેન્ડલી સેન્ટરશહેરમાં રખડતા શ્વાનોની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. રાજકોટમાં અંદાજે 26 હજાર જેટલા રખડતા શ્વાન હોવાનું મનાય છે. વર્ષ 2025માં ડોગ બાઈટના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે, જે ગત વર્ષ કરતા 35 ટકા વધારો દર્શાવે છે. આ સ્થિતિને ધ્યાને લઇ વોર્ડ નં.3ના માધાપર વિસ્તારમાં નવું ડોગ ફ્રેન્ડલી સેન્ટર અને સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે રૂ.1.88 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ શ્વાન ખસીકરણ, રસીકરણ અને ડોગ ફ્રેન્ડલી કામગીરી માટે બે વર્ષનો નવો કોન્ટ્રાક્ટ ગત વર્ષ કરતા 34 ટકા ઊંચા ભાવે અપાયો છે. મણિયાર હોલ અને સંતોષ પાર્કના હોલના નવા ભાડા મંજૂરબેઠકમાં મણિયાર ઓડિટોરિયમ અને સંતોષ પાર્કના હોલના નવા ભાડા મંજૂર થયા છે. ફાયર શાખા માટે નવી બોટ અને મિનિ ફાયર ફાઇટર ખરીદી, લાલપરી તળાવ ડેવલપમેન્ટ, નવા એન્ટ્રી ગેટ, રસ્તા, પેવિંગ બ્લોક સહિતના કામોને મંજૂરી મળી છે. સિક્યુરિટી, પગારધોરણ સહિત 3 દરખાસ્ત પણ પેન્ડિંગમહાપાલિકામાં ગત મહિને મળેલી મિટિંગમાં કોર્પો.ની જુદી જુદી કેડરમાં રહેલા અધિકારીઓના પગારધોરણમાં સુધારાની દરખાસ્ત મોકૂફ રખાઇ હતી. જ્યારે બે વર્ષ માટે 40 કરોડના ખર્ચે સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડવા એજન્સી નિમવાનું પણ મુલતવી રાખવામાં આવ્યું છે. આજી ડેમ | 1958થી 2026 સુધીનો પાણી ઇતિહાસ હવે શહેરમાં પાણીની માંગ સતત વધી રહી હોવાથી ફિલ્ટર ક્ષમતા વધારવી અનિવાર્ય બની હતી. આજી હેડવર્ક્સ ખાતે નવો આધુનિક WTP બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં ફોનિક્સ પ્રોજેક્ટ પ્રા.લિ.એ 3.09 ટકા ઓનથી કામ કરવાની ઓફર આપતા તેને મંજૂરી આપવામાં આવી છે. આ પ્લાન્ટ કાર્યરત થતા સેન્ટ્રલ અને પૂર્વ ઝોનના નાગરિકોને શુદ્ધ પાણીનો સ્થિર પુરવઠો મળશે. ચૂંટણી ઇફેક્ટ| DI પાઇપલાઇનના કામોની દરખાસ્ત પેન્ડિંગવોર્ડ નં.7, 14 અને 17માં ગુરુકુળ હેડવર્કસ હેઠળ આવતા ઢેબર રોડ સાઇડના વિસ્તારોમાં હાઉસ કનેક્શન સાથે 44.95 કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક પાથરવાની દરખાસ્ત પણ મોકૂફ રાખવામાં આવી છે. આ ત્રણે વોર્ડમાં ગત વર્ષમાં ખુદ ખોદકામ થયા છે અને હજુ ચાલુ છે. ડામર કામ ધીમી ગતિએ ચાલે છે અને વોર્ડ નં.7 અને 14માં તો લોકોમાં ખાડાના ત્રાસ સામે રોષ પણ ફેલાયેલો છે.આ સંજોગોમાં નવા કામને હાલ બ્રેક મારવામાં આવ્યાની છાપ છે. જોકે આ અંગે ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે, આ વોર્ડના અમુક ભાગોમાં હજુ ડીઆઇ નેટવર્કનું આયોજન સામેલ ન થયાનું જાણવા મળ્યું છે. આથી વોર્ડમાં તમામ વિસ્તારોનો પ્લાન અને દરખાસ્ત રજૂ કરવા અધિકારીઓને સૂચના અપાઇ છે અને આ કારણે આજે નિર્ણય લેવાયો નથી. જોકે વોર્ડ નં.1ના ઘંટેશ્વરના નવા વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન માટે 5.75 કરોડ અને વોર્ડ નં.1ના રૈયાધાર મારવાડીવાસ મેઇન રોડથી ડ્રીમ સિટી રોડ તરફ ડીઆઇ પાઇપલાઇના કામ માટે 75 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. PMU મુદ્દે સત્તાધીશોનો યૂ-ટર્ન | અગાઉ વિવાદ સર્જાયો હતો હવે રૂ.7.67 કરોડના યુનિટને મંજૂરીમહાપાલિકાના વિકાસ પ્રોજેક્ટ્સના મોનિટરિંગ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU) બનાવવા અંગે અગાઉ વિવાદ સર્જાયો હતો. ગત બેઠકમાં નામંજૂર કરાયેલી દરખાસ્ત કમિશનરે ફરી રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.7.67 કરોડના ખર્ચે PMU સ્થાપવાની દરખાસ્ત યથાવત્ મંજૂર કરી દીધી છે. આ યુનિટમાં આઠ સિનિયર અધિકારીઓની ટીમ દ્વારા સરકારની ગ્રાન્ટવાળી યોજનાઓ, મહાપાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સનું દૈનિક ટ્રેકિંગ, પ્રોગ્રેસ રિપોર્ટ અને સુપરવિઝન કરવામાં આવશે. વર્ગ-1 સહિત 37 અધિકારીની અછત વચ્ચે હવે બહારની પ્રોફેશનલ એજન્સી દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ થવાથી કામમાં ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:46 am

બાયડ પંથકમાં અરવલ્લી એસઓજીની રેડ:જુમાત્રાલ પાસે નદીમાં માછલા મારવા આવેલાો શખ્સ વિસ્ફોટોક સાથે ઝબ્બે

બાયડના જુમાત્રાલ પાસે વાત્રક નદીમાં માછલા મારવા આવેલા ધનસુરાના જૂના બિલવાણીયાના શખ્સને એસોજીએ ખાનગી માહિતીના આધારે વિસ્ફોટક પદાર્થ જીલેટીન વેગન ટોટા, ડિટોનેટર કેપ બેટરી વાયર અને બાઇક સાથે રૂ.40215ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને દૂરથી જોઈને અન્ય એક વોન્ટેડ આરોપી ભાગી છૂટ્યો હતો. બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી પીઆઇ ગરાસિયાની સૂચનાથી પીએસઆઇ રાઠોડ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી માહિતી મળી હતી કે બાયડના જુમાત્રાલની સીમમાં આવેલ વાત્રક નદીના કિનારે બે શખ્સો બાઇક પર વિસ્ફોટકો પદાર્થ લઈ વાત્રક નદીમાં માછલા મારવા આવ્યા હોવાની માહિતીના આધારે એસઓજીએ અચાનક રેડ કરી વાત્રક નદી વિસ્તારમાંથી આરોપી અજય કુમાર સુખાભાઈ ખાંટ રહે. જૂના બિલવાણીયા તા. ધનસુરાને ઝડપી તેની પાસે રહેલી થેલીની ચકાસણી કરતાં તેમાંથી વિસ્ફોટક પદાર્થ જીલેટીન વેગન ટોટા, ડિટોનેટર કેપ બેટરી વાયર મળ્યા હતા. પોલીસે માછલા મારવા આવેલા શખ્સ પાસેથી સ્ફોટક પદાર્થ અને બાઇક સહિત કુલ રૂ.40215નો મુદ્દામાલ કબજે લઈ પોલીસને દૂરથી જોઈને ભાગી છૂટેલા વોન્ટેડ આરોપી સુરેશભાઈ કાંતિભાઈ ખાંટ રહે. જૂના બિલવણીયા તા. ધનસુરા વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ 1884 ની કલમ 9(1-B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:46 am

ભાસ્કર એક્સક્લુસિવ:હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં પાણી પીવાલાયક નથી

ઇન્દોર અને ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે મોત થયાની ઘટનાઓ પ્રકાશમાં આવતાં હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પણ ધીમું ઝેર પીવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત સપ્ટેમ્બર માસના અંતે આવેલ રિપોર્ટ મુજબ પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં નાઇટ્રેટનું પ્રમાણ માન્ય કરતાં બમણું આવ્યું છે અને પીએચ લેવલ પણ 7.6 આવ્યું હતું. જેના પરથી ફલિત થાય છે કે પોલોગ્રાઉન્ડું પાણી પીવાલાયક નથી. નાઈટ્રેટનું વધુ પ્રમાણ લાંબા ગાળે માનવ શરીર માટે ઘાતક બની રહે તેમ છે. જ્યારે મોતીપુરામાં પણ અન્ય વિકલ્પ ન હોય તો આ પાણી ચાલી શકે તેવી રિમાર્ક આવી છે. હિંમતનગર પાલિકા વિસ્તારમાં પ્રતિદિન 13-14 એમએલડી પાણી વિતરણ થાય છે. જેમાં 6 એમએલડી જેટલું પાણી ગુહાઈમાંથી અને બાકીનું વિતરણ પાલિકાના બોરમાંથી થાય છે. છેલ્લા એક વર્ષમાં દુષિત પાણીની પાલિકાને 6 ફરિયાદ મળી હતી. જેમાં જૂની લાઈનો સડી જવાના કિસ્સામાં ગટર લાઈનનું પાણી ભળી જવું, પક્ષીઓના પીંછા વગેરે આવવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. પાલિકા દ્વારા તમામ ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો હતો. પાણીની બાયોમેટ્રિક અને કેમિકલ સ્થિતિ અલગ બાબત છે. પાલિકા દ્વારા નિયમિત અંતરાલે પાણીના સેમ્પલ લઇ ચોમાસા પહેલા અને પછી ટેસ્ટ કરાવાય છે. સપ્ટેમ્બર મહિનામાં પોલોગ્રાઉન્ડમાંથી લેવાયેલ સેમ્પલનો જલભવનની જિલ્લા લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા તેમાં પીએચ વેલ્યુ 7.46 આવી હતી. જે 6.5 થી 8.5 ની વચ્ચે હોવી જોઈએ. આ જેટલું નીચું આવે તેટલું સારું ગણાય છે. જ્યારે નાઇટ્રેટનું પ્રમાણ 45 સુધી ચાલી શકે તેની સામે 90.94 એટલે કે બમણું હોય રિપોર્ટ અનફિટ આવ્યો હતો. જ્યારે શહેરના 4 વિસ્તારમાં પાણીના સેમ્પલ લઇ કરેલ કલ્ચર ટેસ્ટમાં મોતીપુરામાં અન્ય વિકલ્પ ન હોય તો ચાલી શકેનો રિપોર્ટ આવ્યો હતો. પાલિકા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેમિકલ ખાતર દવાઓ સહિતના તત્વો ચોમાસાની સિઝનમાં જમીનમાં ઉતરે છે અને જે જગ્યાએ બોરના પાણીનું વિતરણ થાય છે ત્યાં આ સમસ્યા ચોમાસા દરમિયાન રહે છે. વોટર ટ્રીટમેન્ટની હાલ કોઈ સુવિધા ઉપલબ્ધ નથી એટલે ગુહાઈનું પાણી મિક્સ કરીને અપાય છે. આગામી એકાદ વર્ષમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થઈ જતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે. પાણીના સ્ત્રોતની આસપાસ રાસાયણિક ખાતરોનો વધુ પડતો વપરાશ અથવા ગટરના પાણીનું મિશ્રણ નાઈટ્રેટ વધવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. સામાન્ય ઉકાળવાથી નાઈટ્રેટ દૂર થતું નથી. તેના બદલે પાણી ઓછું થતાં નાઈટ્રેટ વધુ જથ્થામાં કેન્દ્રિત થાય છે. નાઇટ્રેટ પેટ અને આંતરડાના કેન્સર માટે જવાબદાર મનાય છે‎ડૉ.એમ.એમ.સુરતીએ જણાવ્યું કે જ્યારે નાઈટ્રેટ શરીરમાં જાય છે. ત્યારે તે લોહીમાં હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરી મેથેમોગ્લોબિન બનાવે છે. બાળકો માટે કેટલાક કિસ્સામાં જોખમી સાબિત થઈ શકે છે. નાઈટ્રેટ જ્યારે પેટમાં જાય છે ત્યારે તે નાઈટ્રોસેમાઈન્સ નામના સંયોજનોમાં રૂપાંતરિત થઈ શકે છે. આ સંયોજનો કેન્સર ખાસ કરીને પેટ અને આંતરડાનું કેન્સર માટે જવાબદાર મનાય છે. ઉપરાંત, લાંબા સમય સુધી આવું પાણી પીવાથી થાઈરોઈડની ગ્રંથિમાં સોજો આવવો અથવા તેની કામગીરી ખોરવાઈ જવાની પણ શક્યતા રહે છે. ​PH વેલ્યુની અનિશ્ચિતતા અને પાચનતંત્ર પર અસર કરે છે. જો આ વેલ્યુ બોર્ડર પર હોય (ખૂબ ઓછી કે ખૂબ વધારે તો તેની સીધી અસર પાચનશક્તિ પર પડે છે. જો પાણી વધુ એસિડિક હોય, તો તે હોજરીમાં બળતરા, એસિડિટી અને લાંબા ગાળે અલ્સર જેવી સમસ્યાઓ સર્જી શકે છે. એસિડિક પાણી પાઈપલાઈનમાંથી પસાર થતી વખતે કોપર કે લેડ (સીસું) જેવી ધાતુઓને ઓગાળી શકે છે. જે શરીરમાં જઈ કિડની અને લિવરને નુકસાન પહોંચાડે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:45 am

બે ભાઇઓએ 3 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું:મહિલા પર દુષ્કર્મ આચરનારની વિદેશ જવાની અરજી ફગાવતી કોર્ટ

રાજકોટમાં શહેરના સોની બજારમાં સવજીભાઇની શેરીમાં જે.પી. ટાવર સીમાં આવેલી ગણેશ ગોલ્ડ પેઢીમાં ભોગ બનનાર મહિલા સોનાના દાગીનાનું માર્કેટિંગનું કામ કરતી હતી. આ દાગીનાના હિસાબ માટે આરોપી અમિત ભીંડી અને અલ્પેશ ભીંડીએ રહેણાક ફ્લેટમાં હિસાબ માટે બોલાવી અને હિસાબમાં ગોટાળો કર્યો છે તેવો આક્ષેપ કરી રૂમમાં લઇ બળજબરીથી શરીરસંબંધ બાંધી ન્યૂડ ફોટા પાડી લીધા હતા અને પછી ફોટા વાઈરલ કરી દેવાની તથા ભોગ બનનારના માસીના મકાનનો કબજો લઈ લેવાની ધમકી આપી અનેક વખતે દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં આરોપીઓ વિરુદ્ધ તા.05/09/2022ના ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આરોપી અમિતને પોતાના પુત્રના ડિગ્રી સેરેમનીમાં કેનેડા મુકામે જવા તેમજ ધંધાના વિકાસ માટે ફીજી, ઈસ્લાન તથા લંડન મુકામે જવા માગતાં હોય વિદેશ જવા પરવાનગી આપવા કોર્ટમાં અરજી કરી હતી. ફરિયાદીના વકીલ સુરેશ ફળદુ અને સરકારપક્ષે દલીલો કરાઈ હતી કે, હજુ ચાર્જશીટ ફાઈલ થયેલ નથી. વિદેશ જવા પરવાનગી આપવામાં આવશે તો તપાસમાં સાથ સહકાર આપશે નહીં અને વિદેશથી પરત આવશે નહીં. કાર્યવાહી વિલંબિત થશે. આરોપી વિદેશ શિફ્ટ થવાની પેરવીમાં હોય અરજી નામંજૂર કરવા રજૂઆત કરાતા જે ધ્યાને લઈ કોર્ટે વિદેશ જવાની પરવાનગી અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:44 am

રાહદારીઓને મળશે રાહત:પાલનપુરમાં માર્કેટયાર્ડ માર્ગ ની બાજુમાં બ્લોક નાખવાની કામગીરી

પાલનપુરમાં જહાંનઆરા બાગથી આગળ આઇટીઆઇ માર્કેટયાર્ડ માર્ગની સાઇડોમાં બ્લોક નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહિંયા ભૂર્ગભગટરની લાઇન ખોદયા પછી રોડની સાઇડો રેતી અને કચરાથી ભરાઇ ગઇ હતી. જહાંનઆરા બાગથી કન્યા વિધાલય, જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટરનો રહેણાંક બંગલો, નારિ સુરક્ષા કેન્દ્ર, વન વિભાગની કચેરી, આઇ. ટી. આઇ. અને માર્કેટયાર્ડને સાંકળતા માર્ગની બાજુમાં ભૂર્ગભ ગટરની પાઇપલાઇન નાંખવામાં આવી હતી. જે બાદ સાઇડો ઉપર માટી અને કચરો એકત્ર થઇ ગયો હતો. દરમિયાન પાલિકા દ્વારા આ માર્ગની સાઇડો ઉપર બ્લોક નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનાથી રાહદારીઓને ચાલવામાં સુવિધા થશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:41 am

રજૂઆત:કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગુનો નોંધવા માગણી

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા અનેક નાના માણસોના નાણાં હજમ કરી ગયા હોય અને વિદેશ નાસી જવાની પેરવીમાં હોય તેની સામે ગુનો દાખલ કરવા શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ રેન્જ આઇજીપી અને ઇન્કમટેક્સના કમિશનર સમક્ષ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અતુલ રાજાણીએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700થી 800 કરોડના કથિત કૌભાંડમાં સંડોવણી ખૂલી છે અને પોતે એક પત્રકાર પરિષદમાં પણ પોતાનો ગુનાનો એકરાર કર્યો છે. અનેક નાના માણસોના નાણાંઓ હજમ કરી ગયા છે. જેના નાણાં લઈ અને પરત નહીં આપતા જ્યારે લેણદાર પોતાના નાણાંની ઉઘરાણી કરવા જિલ્લા ભાજપ પ્રમુખ પાસે જાય છે ત્યારે ચોર કોટવાલને દંડે એ પ્રકારે લેણદારની સામે ધાકધમકી વાપરી પોલીસમાં ફિટ કરાવવા દેવાની ભાષા વાપરી ગાળો બોલતા હોવાનું જાણવા મળ્યું છે. અનેક નાના માણસોના પૈસા ક્યા આધારે લેવામાં આવ્યા હતા. ફાઇનાન્સનું લાઇસન્સ ધરાવે છે કે કેમ ? જો લાઇસન્સ પણ ન ધરાવતા હોય તો આ અંગે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે નાના માણસોની ઉચાપત કરેલ હોય ત્યારે અધિકારીઓ ઉપર ઇડીની રેડ પડે છે તો કાળા નાણાંની હેરાફેરી માટે ભાજપના સંસદ સભ્યો, ધારાસભ્યો કે હોદ્દેદારો પર ઇડીની રેડ કેમ પડતી નથી ? મોરબી જિલ્લાના કથિત કૌભાંડમાં ઈડી ઝુકાવે અને તટસ્થ તપાસ કરે અને મોરબી પોલીસ ફરિયાદી બની વિશ્વાસઘાત અને છેતરપિંડી સબબ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પર ગુનો દાખલ કરે અને પોલીસ એક નંબર જાહેર કરે તેમાં જયંતીભાઈનો ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા અપીલ કરે અને કરોડો રૂપિયાનું જ્યારે કૌભાંડ છે ત્યારે ભાજપના જે કોઈ કાર્યકર્તાઓ કે આગેવાનોની સંડોવણી ખૂલી થાય તેવા આગેવાનો સામે પણ પોલીસ FIR કરી તટસ્થ તપાસ કરે તેવી અમારી માંગ છે. જો કે હાલ અમારી જાણ મુજબ જયંતીભાઈ રાજકોટિયા વિદેશ જવાની પેરવીમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે રાજકોટ રેન્જ આઇજીપી અને આઇટીના કમિશનર સમક્ષ આવેદન પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:41 am

જંગલેશ્વર ડિમોલિશન:દબાણકર્તાઓએ HCમાંથી અરજી પરત ખેંચી

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની સરકારી જમીન પર દબાણ મામલે સિટી પૂર્વ મામલતદાર દ્વારા 1370 જેટલા આસામીઓને લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 અન્વયે નોટિસ ફટકારી માલિકીના પુરાવા રજૂ કરવા જણાવી સુનાવણી શરૂ કરતા દબાણકારો દ્વારા હાઇકોર્ટમાં અલગ અલગ ત્રણ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં ગુરુવારે સુનાવણી સમયે જ અરજી દાખલ સ્ટેજે જ 66 અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજી વિડ્રો કરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. અરજદારોના વકીલે જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓના મકાન રેગ્યુલાઇઝડ કરવા માંગ કરી હતી સામે પક્ષે સરકાર તરફથી જંગલેશ્વર નોટિફાઈડ ઝૂંપડપટ્ટી તરીકેનો વિસ્તાર ન હોવાનું તેમજ દબાણકારોને સાંભળવા માટે અગાઉ ત્રણ-ત્રણ મુદત બાદ ગુરુવારે પણ સુનાવણી ચાલુ હોવાનું કોર્ટ સમક્ષ જણાવ્યું હતું. જોકે હાઇકોર્ટમાં કેસ દાખલ સમયે જ વિડ્રો થયો હોય કેસ ડિસ્પોઝ કરવામાં આવ્યો છે. જોકે કોર્ટે હજુ સુધી ચુકાદો આપ્યો નથી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર -6ના ફાઇનલ પ્લોટ નંબર 133,136,137 અને 159ની જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલ 1.92 લાખ ચોરસમીટર સરકારી જમીન પર દબાણ મામલે ડિસેમ્બર માસમાં સિટી મામલતદાર દ્વારા 1370 દબાણકારને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ તા.29,30 અને 31 ડિસેમ્બરે સુનાવણી યોજી 900 જેટલા દબાણકારને સાંભળવામાં આવ્યા હતા. દરમિયાન જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓએ હાઇકોર્ટમાં ત્રણ પિટિશન દાખલ કરી હતી જેમાં ગુરુવારે એસસીએ નંબર 94/2026ના કેસમાં અરજદાર રજાકભાઈ નૂરમામદભાઈ જુણેજા સહિતના 66 આસામી દ્વારા કરવામાં આવેલ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવતા બન્ને પક્ષની દલીલો બાદ અરજી દાખલ થવાના સ્ટેજ પર જ આ કેસમાં અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ કેસમાં કોર્ટ સંભવત આજે ચુકાદો આપશે. નોંધનીય છે કે, હાઇકોર્ટમાં સુનાવણી સમયે રાજકોટ સિટી પ્રાંત-1, સિટી મામલતદાર કચેરીનો સ્ટાફ પણ હાઇકોર્ટ દોડી ગયો હતો. હાઇકોર્ટમાં આ કેસની દલીલમાં દબાણકારો વતી 900 જેટલા આસામીનો આશરો છીનવાઈ તેમ હોય સરકારની નીતિ મુજબ નોટિફાઈડ ઝૂંપડપટ્ટીને લગતા નિયમ મુજબ બાંધકામ રેગ્યુલાઇઝડ કરવા માગણી કરવામાં આવી હતી. સામાપક્ષે સરકારી વકીલે સ્પષ્ટ કર્યું હતું કે, જંગલેશ્વર નોટિફાઈડ ઝૂંપડપટ્ટી વિસ્તાર નથી. સાથે જ અરજદારોના વકીલે આરએમસી અને મામલતદારની બન્ને નોટિસનો પણ ઉલ્લેખ કર્યો હોય સરકાર તરફે આ મુદ્દો ઉઠાવી અરજદારોને સાંભળવા પૂરી તક આપી ગુરુવારે પણ રાજકોટમાં જંગલેશ્વરના રહીશો માટે સુનાવણી ચાલુ રાખી તક આપી હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:39 am

જૂનું ટર્મિનલ ચમક્યું:એરપોર્ટમાં પશુને ઘૂસતા અટકાવવા ફેન્સિંગ બનાવાઇ

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનારી ભવ્ય ‘વાઈબ્રન્ટ સમિટ’ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાઈબ્રન્ટમાં ભાગ લેવા આવતા VVIP મહેમાનોની આવન-જાવન અને બેઠક માટે જૂનું ટર્મિનલ બિલ્ડિંગ ચમકાવી દેવાયું છે અને એરપોર્ટમાં પશુને ઘૂસતા અટકાવવા તાત્કાલિક ફેન્સિંગ બનાવી દેવાઈ છે. આ ઈવેન્ટની સૌથી મહત્ત્વની બાબત એ છે કે, હિરાસર એરપોર્ટ પર જે જૂનું ટર્મિનલ ફેબ્રુઆરી મહિનાથી બંધ હાલતમાં હતું, તેને ખાસ મહેમાનો માટે ફરીથી સજ્જ કરવામાં આવ્યું છે. જર્મન ટેક્નોલોજીથી બનેલા આ હંગામી ટર્મિનલને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફરીથી ચમકાવવામાં આવ્યું છે. અગાઉ આ બિલ્ડિંગનો ઉપયોગ કાર્ગો ફ્લાઈટ માટે કરવાની યોજના હતી, પરંતુ વાઈબ્રન્ટ સમિટના મહત્ત્વને જોતા અહીં હાઈ-પ્રોફાઈલ મહેમાનો માટે ખાસ બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ ટર્મિનલ પર ચાર્ટર્ડ વિમાનોમાં આવતા મહાનુભાવો અને બિઝનેસ ડેલિગેશન માટે અહીં આરામદાયક સીટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે, એરપોર્ટ મેનેજમેન્ટ માટે લાંબા સમયથી માથાના દુખાવા સમાન બનેલી સમસ્યાનો અંત વાઈબ્રન્ટ સમિટ પૂર્વે આવી ગયો છે. હિરાસર એરપોર્ટના એપ્રોચ રોડ પર અગાઉ આજુબાજુના ગામોના પશુઓ અને વન્ય પ્રાણીઓ આવવાની ઘટનાઓ બનતી હતી, જેના કારણે અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે ઓથોરિટી દ્વારા એપ્રોચ રોડની બંને બાજુ મજબૂત ફેન્સિંગ અને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. હવે રોડ પર પશુઓના અડિંગા નહીં હોય, જેનાથી વડાપ્રધાન અને અન્ય મહાનુભાવોની અવરજવર સુરક્ષિત બનશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:38 am

આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું:ઓરીના રોગચાળાની સમીક્ષા કરવા આજે આરોગ્ય કમિશ્નર ધાનેરાની મુલાકાતે

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ઓરીના કેસો વધી રહ્યા હોઇ ગાંધીનગરના ઉચ્ચ અધિકારી દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતુ. જ્યાં વર્તમાન સમયે ઓરીના 9 પોઝિટિવ અને 37 શંકાસ્પદ કેસો સામે આવ્યા હોવાના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ શુક્રવારે ગાંધીનગર આરોગ્ય કમિશ્નર રુબરૂ ધાનરા આવી રહ્યા છે. જેને લઇ જિલ્લાના આરોગ્ય વિભાગમાં હલચલ મચી જવા પામી છે. ધાનેરા તાલુકામાં છેલ્લા ત્રણ માસથી ઓરીની બિમારી વકરી રહી છે. એક પછી એક નવા કેસો સામે આવતાં તેની ગંભીર નોંધ લઇ ઉચ્ચ અધિકારી કમલેશ પરમાર દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. જેમાં ઓરીના 9 પોઝિટિવ અને 37 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. દિવ્ય ભાસ્કરના આ અહેવાલ બાદ સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે આરોગ્ય કમિશ્નર ધાનેરા આવી રહ્યા છે. તેમની રૂબરૂ મુલાકાતથી આરોગ્ય વિભાગમાં હલચલ મચી જવા પામી છે. અને આરોગ્ય કર્મચારીઓના સોશિયલ ગૃપમાં ખાસ નોંધ મુકવામાં આવી છે. જેમાં કર્મચારીઓને તમામ કામગીરી પુરી કરી ઓનલાઇન એન્ટ્રી પુરી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:26 am

ધાર્મિક દબાણ દૂર કરાયું:રેલવે બ્રિજ નીચે બોગદુ બન્યાના ચાર વર્ષ બાદ હવે રસ્તો બનાવવા ધાર્મિક દબાણ તોડી પડાયું

પાલનપુર રેલવે ઓવરબ્રિજની નીચે પૂર્વ ભાગમાં ચાર વર્ષ પહેલાં બનાવાયેલા બોગદુ બાદ હવે ગુરુ નાનક ચોક તરફ જવા માટેનો રસ્તો બનાવવાની કાર્યવાહી શરૂ થઈ છે. વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી ચાલતા ધાર્મિક દબાણને હટાવી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે બ્રિજના અંડરપાસ અને વિશ્રામ ગૃહ વચ્ચે આવેલું મુખ્ય ધાર્મિક દબાણ તોડી પાડવામાં આવતા માર્ગ માટે જરૂરી જગ્યા ઉપલબ્ધ થઈ ગઈ છે. જગ્યા ખાલી કરાવવા માટે અગાઉથી નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ વિશ્રામ ગૃહ આગળનું બાંધકામ સંપૂર્ણ રીતે હટાવતાં રસ્તો બનાવવા અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ માર્ગ ખુલ્લો થતાં ગુરુ નાનક ચોક તરફ અવરજવર સરળ બનશે તેમજ ટ્રાફિકની સમસ્યા પણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર મુજબ ટૂંક સમયમાં રસ્તાની બાકી કામગીરી પૂર્ણ કરીને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. કાર્યવાહી બાદ ધાર્મિક દબાણ વાળી જગ્યા ખુલ્લી થઈ હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:25 am

નિકાહના નામે ઠગાઈ:અમદાવાદ નિકાહ પઢવા માટે ગયેલો બનાસકાંઠાનો યુવક દુલ્હનના ઘરે તાળું જોઈ બારાત સાથે પરત ફર્યો

બનાસકાંઠાનો એક યુવક નિકાહ પઢાવવા માટે બારાત લઈને અમદાવાદ પહોંચ્યો હતો. પરંતુ દુલ્હનના ઘરે તાળું લાગેલું જોઈ સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા. પરિવાર રૂપિયા 2 લાખ લઇને શાદીનું ષડયંત્ર રચનારા વચેટીયાઓ સહિત યુવતી સામે કાર્યવાહી કરવાનું જણાવી રહ્યો છે. બનાસકાંઠાના એક શહેરમાં રહેતા યુવકે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, થોડાક માસ અગાઉ અમદાવાદના વચેટીયાઓ મારફતે લગ્નની વાતચીત નક્કી થઈ હતી. રૂપિયા 2 લાખનો વ્યવ્હાર કર્યા પછી વચેટીયાએ યોગ્ય દુલ્હનની ઓળખાણ કરાવી હતી. શાદી માટે નક્કી કરેલી તારીખે બારાત અમદાવાદ પહોંચી હતી. પરંતુ આપેલા સરનામે પહોંચતાં દુલ્હનનું ઘર બંધ મળ્યું હતુ. આસપાસ પૂછપરછ કરતાં પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહતો. ત્યારબાદ વચેટીયાના મોબાઈલ પણ બંધ આવવા લાગ્યા ગયા હતા. આથી બારાત લઇને પરત આવી ગયા હતા. આ અંગે વચેટીયાઓ અને દુલ્હન સામે કાયદેસરની કાર્યવાહી કરીશુ. વડગામમાં નવ લાખ લઈ ફરાર થયેલી લૂંટેરી દુલ્હન ઝડપાઈ પણ સમાધાન થયું વડગામ તાલુકામાં પણ બે યુવકો પાસેથી કુલ રૂ. નવ લાખ લીધા બાદ લૂંટેરી દૂલ્હન ફરાર થઇ ગઇ હતી. જ્યાં પરિવારે પોલીસને રજુઆત કરતાં પોલીસે લૂંટેરી દુલ્હનને રાજસ્થાનમાંથી ઝડપી લીધી હતી. પોલીસ મથકે લાવવામાં આવ્યા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતુ. અને ત્યારબાદ યુવતીને છોડી મુકાઈ હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:23 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:પાલનપુરની રાણીબાગ ટાંકીની ખુલ્લી છત કબૂતરોનો આશિયાનો કોટ વિસ્તારમાં નળમાંથી પાણી સાથે કબૂતરોનાં પીંછાં આવે છે

શહેરની રાણીબાગ પાણીની ટાંકી જર્જરિત હાલત ગંભીર ચિંતા જનક બની છે. વર્ષો જૂની આ ટાંકીનું છત ઘણાં સમય પહેલા તૂટી પડ્યું હતું. ત્યારબાદ છત પર પ્લાસ્ટિકનું આવરણ લગાવવામાં આવ્યું, પરંતુ સમય જતાં તે પણ ફાટી ગયું અને સંપૂર્ણપણે નકામું સાબિત થયું. બાદમાં લોખંડના સળિયા અને નેટ લગાવીને કામ ચલાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ તે પણ અસરકારક સાબિત થઈ નથી. ડ્રોન કેમેરાથી લેવાયેલા દૃશ્યોમાં ટાંકીની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ રીતે નજરે પડે છે. ટાંકીની વર્તુળાકાર છતના પ્લાસ્ટિકનું મોટા ભાગનું આવરણ તૂટેલુ છે. અનેક જગ્યાએ કૉન્ક્રીટ ઉખડી ગયેલું છે છત પર કબૂતરો મોટી સંખ્યામાં બેઠેલા અને ઉડતાં જોવા મળે છે,છત પર કબૂતરના મલમૂત્ર, કચરો અને મેલ જમા થયેલો દેખાય છે. ટાંકીની છત ખુલ્લી હોવાને કારણે અંદર સીધો સૂર્યપ્રકાશ જાય છે, જેના કારણે પાણીમાં એલ્ગી અને જીવાણુઓ પેદા થવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિ પીવાના પાણીની શુદ્ધતા માટે મોટો ખતરો છે. આ ટાંકીમાંથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો સીધેસીધું પીવા માટે અપાય છે જે નાગરિકોના આરોગ્ય પર અસર પડી શકે છે. સૂકી ચરકથી હિસ્ટોપ્લાઝ્મોસિસ‎જેવી ફેફસાંની બીમારી થાય‎ કબૂતરની ચરક માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે નુકસાનકારક છે. તેમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ હવામાં અથવા પાણીમાં ભળી અનેક બીમારીઓ ફેલાવી શકે છે. સુકી ચરકમાંથી ઉડતા કણો શ્વાસ દ્વારા શરીરમાં જાય તો હિસ્ટોપ્લાઝ્મોસિસ જેવી ફેફસાંની બીમારી થાય છે. ચરકથી સાલ્મોનેલા સંક્રમણ થવાથી ડાયરીયા, ઉલટી અને તાવ જેવી તકલીફો ઊભી થાય છે. સતત સંપર્કથી દમ, એલર્જી અને શ્વાસની સમસ્યાઓ વધે છે. પીવાના પાણીની ટાંકીમાં ચરક ભળે તો પાણી દૂષિત બની જનસ્વાસ્થ્ય માટે મોટો ખતરો સર્જે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:21 am

કોર્પોરેટર ભરત ભાટિયાએ કલેકટરને રજૂઆત:પાટણના ત્રણેય ઓવરબ્રિજ પર સેફ્ટી વાયર લગાવવા માંગ

​ઉત્તરાયણના પર્વને લઈને શહેરમાં આવેલ ઓવરબ્રિજ ઉપર લોખંડના પ્રોકેશન વાયર નાખવા માટે કોર્પોરેટર દ્વારા કેલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પાટણ શહેરના કલેક્ટર કચેરીથી રેલવે સ્ટેશન,શ્રમજીવી સોસાયટી થી ગંજ બજાર અને લીલીવાડી ચાર રસ્તા સુધીના ત્રણેય વ્યસ્ત ઓવરબ્રિજ પર પતંગની જીવલેણ દોરીથી બચવા માટે લોખંડના પ્રોટેક્શન વાયર લગાવવામાં આવે તેવી માંગ સાથે કોર્પોરેટર ભરત ભાટિયા દ્વારા કલેકટરને લેખિત રજુઆત કરી છે. દર વર્ષે ચાઈનિઝ દોરીના કારણે વાહનચાલકોના ગળા કપાવવાની ગંભીર ઘટનાઓ બનતી હોય છે.તેમ છતાં આ વર્ષે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી નથી.ગતવર્ષે વહીવટી તંત્ર દ્વારા વહેલી કામગીરી કરાઈ હતી.પરંતુ ચાલુ વર્ષે કોઈ જ હલચલ ન દેખાતા જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર બ્રિજની બંને બાજુ ઊંચા વાયર નહીં ખેંચાય તો નિર્દોષ નાગરિકો કે પદયાત્રીઓએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા ભરત ભાટિયાએ માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:20 am

અકસ્માતને નોતરું:પાટણ સિવિલના પ્રવેશદ્વાર નજીક ડીપી પાસેના ખાડામાં પાણી ભરાતા જોખમ વધ્યું

પાટણ શહેરના મધ્ય ભાગમાં આવેલ સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા નજીક આવેલ ડીપીની બાજુમાં થયેલા ખોદકામના કારણે ડીપી નીચે પાણી ભરાતા મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ છે. પાટણની સિવિલ હોસ્પિટલના સત્તાધીશો જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.સિવિલ હોસ્પિટલ પરિસરમાં પ્રવેશદ્વારની બાજુમાં જ હાઈવોલ્ટેજ ઇલેક્ટ્રિક ડીપી (DP)ની બિલકુલ અડીને ખોદકામ કરાયું છે.પરંતુ આ ખાડામાં પાણી ભરાતા હવે તે જીવલેણ બની રહ્યો છે.​ ભરાયેલા પાણીના કારણે ઇલેક્ટ્રિક ડીપીની આસપાસની જમીન પોચી પડી રહી છે,જેનાથી વીજ થાંભલો કે ડીપી ધરાશાયી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જો પાણીમાં વીજ કરંટ ઉતરે તો હોસ્પિટલમાં આવતા સેંકડો દર્દીઓ અને તેમના સ્વજનો માટે આ સ્થળ ‘મોતનો કૂવો’ સાબિત થઈ શકે છે. રાત્રિના સમયે અંધારામાં આ ખુલ્લો ખાડો દેખાતો ન હોવાથી અકસ્માતની પૂરેપૂરી શક્યતા છે.હોસ્પિટલમાં આવેલા હર્ષદભાઈએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં પ્રવેશવાના મુખ્ય દરવાજા આગળ જ ડીપી આવેલી છે.જેની બાજુમાં જ ખોદકામ કરેલી જગાએ પાણી ભરાયું છે. જો સજાગતા દાખવી આ બાબતે યોગ્ય નિકાલ નહિ કરાય તો મોટી જાનહાની થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:18 am

હિંદુ સમાજની લાગણી દુભાઈ:પાટણમાં કિલાચંદ શોપિંગ સામે દીવાલ પર દેવીદેવતાની ફોટાવાળી સ્ટાઈલો સામે રોષ

પાટણના હાર્દ સમાન કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલા હોસ્પિટલોની સામેની વાહન પાર્કિંગની જગ્યા નજીકની દીવાલ ઉપર હિંદુ દેવી-દેવતાઓની ફોટાવાળી સ્ટાઈલો લગાવેલી છે.સ્થાનિકો અને હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા આ સ્થળ ઉપર લઘુશંકા કરતા હોવાથી સમગ્ર હિંદુ સમાજનું અપમાન થઈ રહ્યું છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે દેવી દેવતાના ફોટા લગાડ્યા હોવા છતાં અજાણ્યા લોકો ત્યાં જ લઘુશંકા કરે છે.જેના કારણે દેવી-દેવતાઓની પ્રતિમાઓ ઉપર ગંદકી ઉડે છે.આવા દ્દશ્યો જોઈ હિંદુ સમાજની લાગણી દુભાઈ રહી છે. આ બાબતે વિશ્વ હિંદુ પરિષદના જિતેન્દ્ર ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે.કે શહેરમાં ઠેર ઠેર ગંદકી રોકવા માટે ભગવાનનો સહારો લેવો એ આસ્થા અને શ્રદ્ધા સાથે ચેડાં છે.શહેરના અનેક વિસ્તારોમાં આવેલા કોમ્પ્લેક્ષમાં હિંદુ દેવી દેવતાઓનું અપમાન થાય એવી જગ્યાઓ ઉપર હિંદુ દેવી-દેવતાઓના ફોટાવાળી ટાઇલ્સ લગાડે છે.જે સનાતન હિંદુ ધર્મનું અપમાન છે. જે ચલાવી ના લેવાય આવા કિસ્સો સામે આવે ત્યારે ત્યારે હિંદુ સંગઠનો દ્વારા આવી પ્રતિમાઓ દૂર કરાતી હોય છે.ત્યારે કિલાચંદ શોપિંગ સેન્ટરની દીવાલો ઉપર લગાવેલા દેવી દેવાતોનો ફોટા સ્ટાઈલો ટૂંક જ સમયમાં સન્માન સાથે દૂર કરાશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:18 am

હથિયાર લાયસન્સ મામલે તંત્રએ કડક વલણ ‎‎અપનાવ્યું:પાટણ જિલ્લામાં સ્વરક્ષણ માટે 5 વર્ષમાં રિવોલ્વરની 68માંથી 60 અરજી નામંજૂર

રિવોલ્વર કે પિસ્તોલ રાખવું આજે ઘણા માટે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે, પરંતુ પાટણ જિલ્લામાં હથિયાર લાયસન્સ મામલે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં સ્વરક્ષણના નામે 68 લોકોએ હથિયાર લાયસન્સ માટે કલેક્ટર સમક્ષ અરજી કરી હતી, પરંતુ 3 અલગ–અલગ કલેક્ટરોના કાર્યકાળ દરમિયાન એકપણ વ્યક્તિને લાયસન્સ મળ્યું નથી. આ દરમિયાન માત્ર બે બેન્કોને જ લાયસન્સ આપ્યા છે, જ્યારે 60 અરજી નામંજૂર કરી દેવાઈ છે અને હાલ 6 અરજી પેન્ડિંગ છે. પાટણ જિલ્લામાં હાલ અંદાજે 380 જેટલા લોકો પાસે સ્વરક્ષણ માટેના હથિયાર લાયસન્સ છે. જેમાં રાજકીય નેતાઓ, બિલ્ડરો સહિતના લોકોનો સમાવેશ થાય છે, પરંતુ આ તમામ લાયસન્સ સપ્ટેમ્બર-2020 પહેલાંના છે. સપ્ટેમ્બર-2020 પછી 3 કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી, અરવિંદ વિજય અને તુષાર ભટ્ટના કાર્યકાળ દરમિયાન એકપણ નવા વ્યક્તિગત હથિયાર લાયસન્સને મંજૂરી અપાઈ નથી. વર્ષ 2021માં બેંક ઓફ બરોડા, પાટણને અને વર્ષ 2023માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને હથિયાર લાયસન્સ મંજૂર કરાયું હતું. તંત્રનું કહેવું છે કે સંસ્થાગત સુરક્ષાની જરૂરિયાત હોય ત્યાં જ અપવાદ રાખવામાં આવે છે. અરજદારને હથિયારની ખરેખર જરૂર છે કે નહીં, તે જોઈ નિણર્ય કરાય છે : કલેક્ટરઅરજદારને હથિયારની શા માટે જરૂર છે તે મહત્વનું માપદંડ છે. ખેતી પાકના રક્ષણ કે પૈસાની લેવડદેવડ જેવા કારણો બતાવે છે, પરંતુ હવે પાક રક્ષણ માટે અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે અને ગનની જરૂર પડતી નથી. પૈસાની લેવડદેવડ પણ મોટાભાગે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે અને રોકડમાં મોટા ટ્રાન્ઝેક્શન પર ઇન્કમટેક્સના નિયમો લાગુ પડે છે. તેથી આવા કારણો યોગ્ય ગણાતા નથી. બેન્ક જેવી સંસ્થાઓને વાસ્તવિક જરૂરિયાત હોય ત્યારે જ લાયસન્સ અપાય છે. બાકી અરજદારોને મેરિટ આધારે ચકાસીને મંજૂરી અપાતી નથી. > તુષાર ભટ્ટ, જિલ્લા કલેક્ટર ગંભીર ગુનાઓવાળા 10ના લાયસન્સ રદ‎અત્યાર સુધીમાં જેમના સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે એવા અંદાજે‎10 જેટલા લોકોના હથિયાર લાયસન્સ રદ કરી દેવાયા છે. આ ઉપરાંત‎દર વર્ષે ફિટનેસ સહિતના કારણોસર પણ કેટલાક લાયસન્સ રદ કરાઈ‎રહ્યા છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.‎

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:15 am

270 છાત્રો પરિક્ષામાં ચોરી કરતા રંગેહાથ ઝડપાયા:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં 7 દિવસમાં 270 કેસમાં 60 % કેસ મહેસાણા જિલ્લામાં નોંધાયા

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ સત્રની પરીક્ષામાં આ વખતે ચોરી કરી પાસ થવાના મનસૂબા વાળા છાત્રોના સ્વપ્ન ઉપર પર પાણી ફરી વળ્યું છે. કુલપતિના માર્ગદર્શન હેઠળ ડો.કે.કે. પટેલની 200 પ્રોફેસરોની સુપર-200 ટીમે એવી જાળ બિછાવી કે માત્ર 7 દિવસમાં 270 વિદ્યાર્થીઓ ચોરી કરતા રંગેહાથ ઝડપાયા છે. આંકડાઓ જોતા લાગે છે કે મહેસાણા જિલ્લો ચોરીનું હબ બની ગયું છે, કારણ કે કુલ કેસના 60 ટકા તો માત્ર મહેસાણામાં જ નોંધાયા છે. યુનિવર્સિટીએ આ વખતે પરીક્ષાની વિશ્વસનીયતા બચાવવા માઈક્રો પ્લાનિંગ કર્યું છે. સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન સિસ્ટમ દ્વારા એક જ કંટ્રોલ રૂમમાં બેસીને પાંચેય જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર બાજ નજર રખાઈ રહી છે. જ્યાં પણ શંકાસ્પદ હિલચાલ જણાય, ત્યાં તરત જ સ્પેશિયલ સ્ક્વોડ ત્રાટકે છે. પરીક્ષાના શરૂઆતના દિવસોમાં ચોરીનું પ્રમાણ સતત વધ્યું હતું.5 જાન્યુઆરીના રોજ જાણે ચોરીની મોસમ ખીલી હોય તેમ રેકોર્ડબ્રેક 89 કેસ નોંધાયા હતા. જોકે, સ્ક્વોડની કડકાઈને કારણે છેલ્લા બે દિવસમાં ગભરાયેલા વિદ્યાર્થીઓએ ચોરી કરવાનું ટાળતા આંકડો ઘટી 11 અને 17 પર આવી ગયો છે. ભાસ્કર ઇન્સાઇડ 300 છાત્રોને સજા અંગે 12મીએ નિર્ણય લેવાશેયુનિવર્સિટીની અગાઉ બે તબક્કામાં યોજાયેલ પરીક્ષામાં સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન સિસ્ટમ દરમ્યાન સ્કોર્ડ ટીમ દ્વારા અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને ચોરી કરતા પકડી કોપી કેસ નોંધવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ સામે નવા એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે આગામી 12 જાન્યુઆરીએ પરીક્ષા શુધ્ધિ સમિતિની બેઠક યોજાશે.જેમાં વિદ્યાર્થીઓના ખુલાસા પૂછી તેમને સજા અંગે કાર્યવાહીનો કમિટી દ્વારા નિર્ણય લેવાશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:12 am

'રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ' અંતર્ગત ઉજવણી:લણવાની ત્રિભુવન વિદ્યાલયમાં છાત્રોએ ટ્રાફિક નિયમોના શપથ લીધા

ચાણસ્માના લણવા સ્થિત ત્રિભુવન વિદ્યાલયમાં જાન્યુઆરી- 2026 ''રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ'' અંતર્ગત બે દિવસીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં NSS સ્વયંસેવકોને વિક્રમભાઈ દ્વારા માર્ગ સલામતીના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષક હસમુખભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલે પ્રવચન આપતા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, લાયસન્સની પ્રક્રિયા, હાઈવેના પ્રકાર અને ઝિબ્રા ક્રોસિંગ વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે હેલ્મેટ અને સીટબેલ્ટની ઉપયોગિતા સમજાવી સુરક્ષિત ડ્રાઈવિંગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડો. સમીર પટેલે માર્ગદર્શન આપનાર શિક્ષકોને બિરદાવ્યા હતા, જ્યારે જગદીશભાઈએ આભારવિધિ કરી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:09 am

વિકાસની અટકેલી ગાડી ફરી પાટા પર ચડશે:પાટણમાં ચોમાસામાં ધોવાયેલા રોડ રસ્તાઓનું અટકી પડેલ રિસરફેસિંગનું કામ હવે શરૂ થશે

પાટણ શહેરના ખખડધજ રસ્તાઓથી પરેશાન નાગરિકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. પાલિકામાં સત્તાધારી પક્ષ અને વિરોધીઓ વચ્ચે ચાલી રહેલા ઠરાવ યુદ્ધ પર ગાંધીનગર પ્રાદેશિક કમિશનર બી.એમ. પટેલે આખરે પૂર્ણવિરામ મૂક્યું છે. કમિશનરે પાલિકાના મહત્વના 12 ઠરાવોને બહાલી આપતા હવે પાટણના વિકાસની અટકેલી ગાડી ફરી પાટા પર ચડશે. આ નિર્ણયમાં સૌથી મહત્વનો મુદ્દો ₹1 કરોડના ખર્ચે રોડ-રસ્તા રિ-સરફેસિંગ કરવાનો છે, જે લાંબા સમયથી વહીવટી મંજૂરીના અભાવે અભેરાઈએ ચડ્યા હતા. પાટણ શહેરમાં ગત ચોમાસા દરમિયાન જે રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું હતું, તેના સમારકામ માટે પાલિકાની કારોબારીમાં રૂ.1 કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આંતરિક વિવાદો અને કાનૂની લડાઈને કારણે આ ઠરાવ પર સ્ટે આવતા કામગીરી અટકી પડી હતી. કમિશનરે ઠરાવ નં. 40, 41 અને અન્ય નાણાકીય જોગવાઈઓને લીલીઝંડી આપતા હવે કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર આપી યુદ્ધના ધોરણે રસ્તાના કામો શરૂ કરી શકાશે. કમિશનરે વિકાસ કામોને વેગ આપ્યો છે, પરંતુ નિયમ ભંગ બદલ કડકાઈ પણ દાખવી છે. હાંસાપુર ગૌચર જમીન પર સરકારની પૂર્વ મંજૂરી વગર થઈ રહેલા કામો (ઠરાવ નં. 64 અને 66) ને કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યા છે. નિયમ મુજબ જ કામો મંજૂર કર્યા હોય RCM મંજૂર કર્યાઆ અંગે કારોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, અમે પ્રજાહિતમાં જ ઠરાવો કર્યા હતા. ચીફ ઓફિસરના રિવ્યુ બાદ અમે કરેલી અપીલને ગ્રાહ્ય રાખી 14 માંથી 12 ઠરાવો મંજૂર થયા છે. હવે પાટણની જનતાને ધૂળ અને ખાડામાંથી મુક્તિ અપાવવા અમે કટિબદ્ધ છીએ.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:07 am

ટુ વ્હિલરનો ટેસ્ટ આપવા આવેલા અરજદારોને પડ્યા ધક્કા‎:પાટણ RTOમાં ટેકનિકલ ખામીના કારણે 15 જાન્યુ.સુધી ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ

પાટણ જિલ્લા આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરીમાં ટેકનિકલ અવરોધ સર્જાતાં આગામી 15 જાન્યુઆરી 2026 સુધી ટુ-વ્હીલરના તમામ ટેસ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સતત બે દિવસથી સર્જાયેલી આ સમસ્યાને કારણે દૂર-દૂરથી આવેલા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તંત્ર દ્વારા નવી આર.એફ.આઈ.ડી (RFID) સિસ્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મંગળવારે સમગ્ર રાજ્યમાં સર્વરની સમસ્યાને કારણે કામગીરી ઠપ રહી હતી. ત્યારબાદ બુધવારે સવારે જ્યારે નિત્યક્રમ મુજબ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે ટુ-વ્હીલર ટેસ્ટ માટે અનિવાર્ય એવી RFID સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીને પગલે આખો દિવસ ટેસ્ટ પ્રક્રિયા બંધ રહી હતી. વહીવટી પ્રક્રિયા મુજબ નવી સિસ્ટમ મંગાવવામાં સમય લાગે તેમ હોવાથી, તંત્રએ 15 જાન્યુઆરી સુધી ટુ-વ્હીલર ટેસ્ટ મુલતવી રાખ્યા છે. સમય અને નાણાંનો વેડફાય થાય છે : અરજદાર ટેસ્ટ આપવા આવેલા અરજદારો ચેતન પ્રજાપતિ, શૈલેષ પ્રજાપતિ અને રોશની પટેલે જણાવ્યું હતું કે, અમે બુધવારથી અહીં રાહ જોઈ રહ્યા છીએ. ગુરુવારે આવ્યા ત્યારે જાણવા મળ્યું કે 15 તારીખ સુધી ટેસ્ટ બંધ છે. અમને કોઈ અગાઉથી મેસેજ આપવામાં આવ્યા નથી, જેના કારણે અમારે ખોટા ધક્કા ખાવા પડે છે અને આર્થિક નુકસાન સાથે સમય પણ વેડફાય છે. ટુ-વ્હીલર ટેસ્ટ પ્રક્રિયા RFID ખામી સર્જાતાં નિર્ણયટુ-વ્હીલર ટેસ્ટ પ્રક્રિયા RFID દ્વારા જનરેટ થાય છે, જેમાં ખામી આવતા નવી સિસ્ટમ માટે વડી કચેરીએ પ્રક્રિયા હાથ ધરી છે. અરજદારોને વધુ ધક્કા ન થાય તે માટે 15 જાન્યુઆરી સુધી ટુ-વ્હીલર ટેસ્ટ બંધ રખાયા છે. જોકે, ફોર-વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે. જો સિસ્ટમ વહેલી કાર્યરત થશે તો અરજદારોને મોબાઈલ પર મેસેજ દ્વારા જાણ કરાશે.તેવું. કે. એન. ચૌધરી આરટીઓ ઇન્સ્પેક્ટર, પાટણ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:05 am

શત્રુધ્ન સિંહાએ રીના રોયને ડિઅર ફ્રેન્ડ ગણાવી બર્થ ડે વિશ પાઠવી

બંનેની એકથી વધુ તસવીરો પણ પોસ્ટ કરી ઈન્ટરનેટ પર પોસ્ટ વાયરલઃ લોકોએ કહ્યું, હવે અમિતાભ પણ રેખાને આવી વિશ પાઠવે મુંબઈ - શત્રુધ્નસિંહાએ એક બિન્ધાસ્ત પોસ્ટ કરી તેની એક સમયની પ્રેયસી ગણાતી રીના રોયને 'એક્સ' પ્લેટફોર્મ પર બર્થ ડે વિશ પાઠવતાં આ પોસ્ટ વાયરલ બની હતી. શત્રુએ પોતાની પોસ્ટમાં રીનાને પોતાની 'ડીયર ફ્રેન્ડ' ગણાવી હતી. તેણે પોતે અને રીનાએ જે ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું તેની કેટલીક તસવીરો પણ પોસ્ટ સાથે એટેચ કરી હતી.

ગુજરાત સમાચાર 9 Jan 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મમતા બોલ્યા- મોદી જી... અમિત શાહને કંટ્રોલમાં રાખો; ચાંદી ₹12,000 સસ્તી, રાજપીપળામાં 40થી વધુ વાઘના ચામડા મળ્યા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ટીએમસી આઈટી સેલના હેડ પ્રતીક જૈનના ઘરે EDના દરોડાના રહ્યા. દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી બળજબરીથી ઘૂસી ગયા અને કેટલીક ફાઇલો લઈ ગયા. ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદી શકે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. મમતા બોલ્યા- મોદી જી... અમિત શાહને કંટ્રોલમાં રાખો:TMCના IT સેલ ઇન્ચાર્જના ઘર-ઓફિસ પર EDના દરોડા; એક્શન વચ્ચે ફાઈલ લઈને નીકળી ગયા દીદી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કથિત કોલસા તસ્કરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા દરમિયાન અવરોધ ઉભો કર્યો. તેઓ કોલકાતામાં પોલિટિકલ કન્સલ્ટન્ટ ફર્મ I-PACના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસ્યા અને પોતાની સાથે ઘણા ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ભારત પર લાગશે 500% ટ્રમ્પ ટેરિફ?:આવતા અઠવાડિયે US સંસદમાં મતદાન, રશિયા પર 500% ટેરિફવાળા બિલને ટ્રમ્પની લીલીઝંડી; હવે ભારત, ચીન પર નિશાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો સંબંધિત એક બિલને મંજૂરી આપી દીધી છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, આ બિલમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% સુધી ટેરિફ લગાવવાની જોગવાઈ છે. રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામએ જણાવ્યું હતું કે બુધવારે વ્હાઇટ હાઉસમાં તેમની ટ્રમ્પ સાથે મુલાકાત થઈ, જેમાં રાષ્ટ્રપતિએ બિલને લીલી ઝંડી આપી દીધી. આ બિલ છેલ્લા ઘણા મહિનાઓથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. એને આવતા અઠવાડિયે સંસદમાં વોટિંગ માટે લાવવામાં આવી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. સુપ્રીમ કોર્ટે કહ્યું, કૂતરાં માનવના ડરને ઓળખે છે એટલે કરડે:દેશમાં માત્ર 5 સરકારી શેલ્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર સુપ્રીમ કોર્ટ રખડતાં કૂતરાં સંબંધિત કેસોની સુનાવણી કરી રહી છે. કોર્ટે કૂતરાંના વર્તનની ચર્ચા કરી. જસ્ટિસ નાથે કહ્યું, કૂતરાં માનવના ડરને અનુભવે છે અને તેથી કરડે છે. એક વકીલે (કૂતરાંની તરફેણમાં) આ વાતનો ઇનકાર કર્યો. પછી જસ્ટિસે જવાબ આપ્યો, માથું હલાવો નહીં, હું મારા પર્સનલ અનુભવથી બોલી રહ્યો છું. અરજદારના વકીલે કહ્યું- રાજ્યોએ ડેટા આપ્યો છે, એમાંથી કોઈએ એવું દર્શાવ્યું નથી કે નગરપાલિકાઓ અથવા સરકારો દ્વારા કેટલાં શેલ્ટર ચલાવવામાં આવે છે. દેશમાં ફક્ત પાંચ સરકારી શેલ્ટર છે. આમાં દરેકમાં 100 કૂતરાં રાખી શકાય છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ચાંદીના ભાવ ઊંધા માથે પટકાયા:ઓલટાઇમ હાઇ થયા પછી આજે કડાકો, એક કિલોના ₹2.36 લાખ, સોનું પણ સસ્તું થયું; જાણો તમારા શહેરના ભાવ સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 8 જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,232 રૂપિયા ઘટીને 1,35,443 રૂપિયા પર આવી ગયો છે. આ પહેલાં એ 1,36,675 રૂપિયા પર હતો. 1 કિલો ચાંદીની કિંમત 12,225 રૂપિયા ઓછી થઈને 2,35,775 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગઈકાલે એ 2,48,000 રૂપિયા પર હતી, જે તેની ઓલટાઈમ હાઈ પણ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બહાર:ટેસ્ટિક્યુલર ટોર્સનની સર્જરી થઈ, T20 વર્લ્ડકપની ટીમમાં પણ સામેલ છે; ભારતને મોટો ઝટકો? એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતને ચેમ્પિયન બનાવનાર તિલક વર્માની સર્જરી થઈ છે. PTIના રિપોર્ટ અનુસાર, તિલક ન્યૂઝીલેન્ડ સામે રમાનારી પાંચ મેચની ટી-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે, જે 21 જાન્યુઆરીથી શરૂ થશે. જોકે, આ મામલે BCCIએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. એશિયા કપ ફાઇનલમાં તિલકે અણનમ 69 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની ઈજાને ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. વર્લ્ડ કપની શરૂઆતની એક-બે મેચમાં પણ તેના રમવા પર શંકા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રાજપીપળામાં 40થી વધુ વાઘના ચામડા મળ્યા:મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળ્યાં; ગુજરાતમાં પ્રથમ ઘટના નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. મંદિરના જૂના મકાનમાંથી દુર્ગંધ આવતા વનવિભાગને જાણ કરાઈ રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી. રાજપીપલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. PM મોદી-જર્મન ચાન્સેલરની ગુજરાત મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ:11મીએ ગાંધી આશ્રમની મુલાકાત, 12મીએ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે, પોલીસ અધિકારીઓનું સ્થળ નિરિક્ષણ આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મન ચાન્સેલરની ગુજરાત મુલાકાતને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર અમદાવાદમાં ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લેવાના છે. બે દિવસની બંને મહાનુભાવોની મુલાકાતને લઈને આજથી તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જર્મન ચાન્સેલર અમદાવાદ ખાતે આવેલી ITC નર્મદા હોટેલ ખાતે રોકાય તેવી સંભાવના છે. પોલીસ કમિશનર જી.એસ મલિક, સેક્ટર 1 JCP નીરજ બડગુજર, જેસીપી એન.એન ચૌધરી, ડીસીપી ઝોન 1 હર્ષદ પટેલ, ડીસીપી ભાવના પટેલ સહિતના અધિકારીઓએ રિવરફ્રન્ટ, મેટ્રો સ્ટેશન, ગાંધી આશ્રમની મુલાકાત લઈ સુરક્ષા અંગેનું નિરીક્ષણ કર્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ: ભારતની વસ્તી ગણતરી 2027નું શેડ્યુલ જાહેર:પ્રથમ તબક્કો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી રહેશે, ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો ) 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં અધિકારીએ કારમાં સવાર મહિલાને ગોળી મારી, મોત:ટ્રમ્પે કહ્યું- આ ભયાનક, પરંતુ અધિકારીનો બચાવ કર્યો; વિસ્તારમાં પ્રદર્શનો શરૂ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ: બેંગલુરુ-વિજયવાડા એક્સપ્રેસવે પર 24 કલાકમાં 29 કિમી રોડ બન્યો:10,675 મેટ્રિક ટન ડામર પાથરવામાં આવ્યો; NHAIએ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ: બાંગ્લાદેશને JF-17 ફાઇટર જેટ વેચવાની તૈયારીમાં પાકિસ્તાન:ચીન સાથે મળીને બનાવ્યું; ઇસ્લામાબાદમાં બંને દેશોના એરફોર્સ ચીફે વાતચીત કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ: પુત્રે પિતા પહેલાં દુનિયા ન છોડવી જોઈએ:અગ્નિવેશના નિધનથી ભાંગી પડ્યા વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ, ટ્વીટ કર્યુંઃ તે મારી દુનિયા હતો; કમાણીના 75% હિસ્સાનું દાન કરશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ: સરફરાઝ લિસ્ટ-Aમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટર બન્યો:20 બોલમાં 62 રન બનાવ્યા; VHTમાં સૌરાષ્ટ્ર આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ, બરોડા થોડાક માટે ચૂકી ગઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ: ઈશ્વરનું સંરક્ષણ હોવા છતાં પાંડવોને કષ્ટ કેમ પડ્યું?:બાણ શય્યા પરથી ભીષ્મ પિતામહે પાંડવોને આપ્યો જીવનનો બોધપાઠ, આજના સમયમાં પણ એટલું જ સુસંગત (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ જાપાનમાં 243 કિલોની માછલી 29 કરોડ રૂપિયામાં વેચાઈ જાપાનમાં 243 કિલોગ્રામ વજન ધરાવતી બ્લુફિન ટુના માછલી ₹29 કરોડમાં વેચાઈ હતી. જાપાનમાં ટુના કિંગ તરીકે ઓળખાતા પ્રખ્યાત કિયોમુરા કોર્પોરેશનના માલિક કિયોશી કિયોમુરાએ તેને ખરીદી હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:સ્કીઇંગ શું છે, જેમાં વેદાંતાના ચેરમેનના પુત્રએ જીવ ગુમાવ્યો; અનિલ અગ્રવાલની હજારો કરોડની સંપત્તિનું શું થશે? 2. 'યુવતી સમજીને લઈ જાય, પણ નીકળે ટ્રાન્સજેન્ડર!':થાઇલેન્ડમાં રેસ્ટોરન્ટ ચલાવતા ગુજરાતીએ જણાવી નાઇટ લાઇફની ડાર્ક સાઇડ, એક ડીલ જેલ કે હોસ્પિટલ પહોંચાડી શકે છે 3. ‘તૂ મેરે સાથ નહીં આઈ, તો ઇસકા અંજામ દેખેગી’:કરિશ્માને પામવા ચાલુ બાઇકે પતિનું ગળું વેતરી નાખ્યું, આંતરધર્મીય લગ્નનો લોહિયાળ અંત 4. મંત્રી મનસુખ માંડવિયા ભયાનક ટ્રોલ થયા:વાંચીને બોલવામાં પણ લોચા પડ્યા, નેતાઓએ મજા લીધી, રાજકોટ પાસે અચાનક ટોલનાકું પ્રગટ થતાં સાહેબોની ફજેતી! 5. જાપાનમાં રેકોર્ડબ્રેક 29 કરોડમાં વેચાઈ માછલી:બ્લૂફિન ટૂનામાં આખરે એવું શું ખાસ છે; આને જાળી નાખીને કેમ પકડી શકાતી નથી 6. બ્લેકબોર્ડ: હત્યારા બાપને ફાંસી અપાવીને આત્મહત્યા કરીશ:કહેતા હતા બ્રાહ્મણ થઈને નીચ સાથે લગ્ન કેમ કર્યા, પતિને ગોળી મારીને બોલ્યા- હવે હું બહુ ખુશ છું 7. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા, પ.બંગાળ સુધી અસર:લોકોએ કહ્યું, બંગાળ બાંગ્લાદેશનું ડુપ્લિકેટ બની રહ્યું છે, દીદીની પોલીસ જિહાદી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: કર્ક રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે, સિંહ રાશિના લોકોના પારિવારિક મુદ્દાઓનું નિરાકરણ નક્કી (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 5:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:2 કલાકના નૃત્ય માટે મેક-અપ કરતાં 2 કલાક અને ઉતારતાં 45 મિનિટ લાગે છે

અમદાવાદમાં શુક્રવાર અને શનિવાર, એમ બે દિવસ અનુક્રમે લાંભાના લક્ષ્મીપુરા શ્રી ગુરુવાયુરપ્પન (કૃષ્ણ) મંદિરે અને વાસણાના ઐયપ્પા મંદિરે કેરળની પરંપરાગત નૃત્ય-નાટ્ય શૈલી ‘ઓટ્ટન થુલ્લલ’ની પ્રસ્તુતિ કરવામાં આવશે. ઉત્તરાયણ નિમિત્તે 10મીથી યોજાનારા પંચ દિવસીય ધાર્મિક કાર્યક્રમના ભાગરૂપે કેરળના પ્રસિદ્ધ કલામંડલમ્ સુરેશ કલિયાથ અને તેમનું વૃંદ આ નૃત્ય રજૂ કરશે. લાંભામાં શુક્રવારે સાંજે 6 વાગ્યે ‘કિરાથમ્’ની કથા રજૂ કરાશે જ્યારે વાસણામાં શનિવારે સાંજે 7 વાગ્યે ‘રામાનુચરિથમ્ (ગરુડા ગર્વભંગમ્)’ની કથા રજૂ કરાશે. 2 કલાકના નૃત્ય માટે મેક-અપ અને વેશભૂષામાં પણ 2 કલાક લાગતો હોય છે અને મેક-અપ દૂર કરવામાં પણ 45 મિનિટ જાય છે. ‘ઓટ્ટન થુલ્લલ’નો આરંભ 18મી સદીમાં પ્રસિદ્ધ મલયાલમ કવિ અને વ્યંગકાર કુંચન નામ્બિયારે કર્યો હતો. સરળ મલયાલમ ભાષામાં સમાજની કુરીતિઓ, પાખંડ અને અહંકાર પર કટાક્ષ કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક રંગથી મેક-અપ કરાય છેઓટ્ટન થુલ્લલ માટે વેશભૂષા અને મેકઅપ તૈયાર કરવા અંદાજે 2 કલાક થાય છે અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી મેક-અપ દૂર કરવામાં પણ 30થી 45 મિનિટનો સમય લાગે છે. મેક-અપ અને વેશભૂષા માટે સંપૂર્ણપણે પ્રાકૃતિક રંગોનો નારિયેળના તેલ સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરવામાં આવે છે. ચહેરા પર પીળો, વાદળી, કાળો રંગ અને હોઠ પર લાલ રંગથી મેક-અપ કરાય છે. સાથેસાથે ચૂનાનો પણ ઉપયોગ કરાય છે. આ તમામ રંગોને નારિયેળના તેલથી ચહેરા પર લગાવાય છે. ચહેરા પર રેખા દોરવા માટો ચોખાની પેસ્ટમાંથી સફેદ રંગ બનાવાય છે. લીલો ચહેરો પાત્રની વીરતા અને ઉદારતા દર્શાવે છે જ્યારે ઘેરી કાળી આંખ ભાવભંગિમા સ્પષ્ટ કરે છે અને લાલ હોઠ કાવ્યપાઠને પ્રભાવશાળી બનાવે છે. કલામંડલમ સુરેશ કલિયાથનો પરિચય કેરળના થ્રિસૂર જિલ્લાના કિલ્લીમંગલમ ગામના કલામંડલમ સુરેશ કલિયાથે કલામંડલમ કલ્પિત યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સ (થુલ્લલ)માં સ્નાતક અભ્યાસ પૂર્ણ કરી મુંબઈમાં ઇન્ડિયન આર્ટ્સમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો છે. પોંડિચેરી સ્થિત કલાગવેષણા સંસ્થા આદિશક્તિ લેબોરેટરી ફોર થિયેટર આર્ટ્સ રિસર્ચ સેન્ટર (ALTAR)માં 17 વર્ષ સુધી અધ્યાપક તથા પરફોર્મર તરીકે સેવા આપી છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

નિર્ણય:વેપારીઓની સંખ્યા વધતાં પીપળજમાં પ્લોટ વધારાશે

ન્યૂ ક્લોથ માર્કેટ સાથે સંકળાયેલા અનેક વેપારીઓએ પીપળજમાં નવું કાપડ માર્કેટ સ્થાપવાની યોજના તૈયાર કરી છે. નવા માર્કેટમાં જોડાવા માટે મોટી સંખ્યામાં વેપારીઓએ તૈયારી દર્શાવતાં તાજેતરમાં મળેલી બેઠકમાં પ્લોટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે. ન્યૂ કલોથ માર્કેટને 66 વર્ષ પૂર્ણ થયાં છે. વધતી જતી પાર્કિંગ અને ટ્રાફિકની મુશ્કેલી ધ્યાને રાખી પીપળજ પાસે નવી માર્કેટ બનાવીએ તો ત્યાં જ કાપડની મિલો, ટ્રાન્સપોર્ટ, રિંગરોડનો સીધો લાભ મળી શકે તેમ છે. ઉપરાંત ઘણાં વર્ષોથી સાઉથ બોપલ, ઘુમા, શેલા અને સાણંદમાં વેપારીઓએ રહેવાના ઘર બનાવી સ્થળાંતર કર્યું હોવાથી પીપળજમાં નવી માર્કેટ બનાવાનું નક્કી કરાયું હતું. પહેલાં 150 પ્લોટની સંખ્યા રખાઈ હતી પરંતુ માગ જોતાં વિસ્તાર વધારવાનો નિર્ણય લેવાયો હોવાનું પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું. હાલની ન્યૂ કલોથ માર્કેટ અને મસ્કતી કાપડ માર્કેટ અહીંયાં જ કાર્યરત રહેશે પરંતુ શહેરની નજીક પીપળજમાં નવું માર્કેટ બને તો વેપારીઓને સરળતા મળી રહેશે. શહેરમાં નવું કાપડ માર્કેટ બનાવવું જરૂરીહાલમાં ન્યૂ કલોથ માર્કેટના 3 કિલોમીટર વિસ્તારમાં હોલસેલ, સેમી હોલસેલ, રેડીમેડ ગાર્મેન્ટ તથા ગાર્મેન્ટર પણ છે. ભવિષ્યને ધ્યાને રાખીને નવું માર્કેટ બનાવવું જરૂરી છે. આજે ન્યૂ કલોથ માર્કેટના ઘણા વેપારી મિલો તથા અન્ય ઘણી ઇન્ડસટ્રીના માલિક બન્યા છે. > ગૌરાંગ ભગત, પ્રમુખ મસ્કતી કાપડ માર્કેટ મહાજન

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ગુજરાતનું પ્રદર્શન ચિંતાજનક:ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલનું પરિણામ જાહેર: ગુજરાતના માત્ર 45% વકીલો પાસ

ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલ દ્વારા બુધવારે જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. દેશના સરેરાશ 69% ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે, તેની સામે ગુજરાતમાં પરિણામનો આંકડો માંડ 45% સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ 13,152 વિદ્યાર્થીઓએ નસીબ અજમાવ્યું હતું, જેમાંથી માત્ર 6008 વિદ્યાર્થીઓ જ વકીલાત માટે લાયક ઠર્યા છે. જ્યારે 7144 નાપાસ વિદ્યાર્થીઓને ફરી જૂનમાં પરીક્ષા આપશે. શા માટે જરૂરી છે આ પરીક્ષા?લો પૂર્ણ કર્યા બાદ પ્રોવિઝનલ સનદ મળે છે, પરંતુ કાયમી વકીલાત કરવા અને કોર્ટમાં દલીલો કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. સનદ મેળવ્યાનાં બે વર્ષમાં આ પરીક્ષા પાસ ન કરનાર વકીલ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકતા નથી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

તપાસ:એસજી હાઈવે ઉપર રાહદારીને ઉડાવનાર કારચાલક સગીર હતો

એસજી હાઈવે ફન બ્લાસ્ટની સામે વૈષ્ણોદેવીથી ગોતા તરફ જતા રસ્તા પર થયેલા હિટ એન્ડ રન કેસમાં સગીરે કાર ચલાવી અકસ્માત કર્યો હોવાનો ઘટસ્ફોર્ટ થયો છે. 28 ડિસેમ્બરે સગીરે ઓવરસ્પીડમાં કાર ચલાવીને 55 વર્ષીય પુરુષને ટક્કર મારી હતી. જેના કારણે પુરુષનું ગંભીર ઈજાઓનાકારણે મોત નીપજ્યું હતું. હાલ આ મામલે એસજી હાઈવે ટ્રાફિક પોલીસે સગીરને કાર ચલાવવા આપનાર તેના પિતા સામે ગુનો નોંધી શરૂ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સગીરના દાદાનું ઓપરેશન હોવાથી સગીરે મામાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર કાર લઈને હોસ્પિટલ પૈસા આપવા માટે આવતા અકસ્માત સર્જ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

3 ટ્રેન રિશિડ્યુલ:કાંદિવલી–બોરીવલી વચ્ચે 6ઠ્ઠી લાઈનના કામથી મેગા બ્લોક

રેલવે દ્વારા મુંબઈના કાંદિવલી-બોરીવલી સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યમાં 30 દિવસના બ્લોક કામના કારણે કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવા સાથે રિશિડ્યુલ કરી છે. ભવિષ્યના ટ્રાફિકને ધ્યાને રાખી ટ્રેનોનું સંચાલન સરળ બનાવવા માટે છઠ્ઠી લાઈન નખાઇ રહી છે. જેથી લોકલ તથા લાંબા અંતરની ટ્રેનોને અલગ માર્ગ મળતા, ટ્રેનોના વિલંબમાં ઘટાડો થશે, સમય સચવાશે અને પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ ઘટશે. ટ્રેનોનામાં ફેરફાર કરાયો છે તેમાં 10 જાન્યુઆરીની 19418 અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસને વસઈ અટકાવાશે. 11મીની 19417 બોરીવલી–અમદાવાદ વસઈ રોડથી જ દોડશે અને વસઈ રોડ–બોરીવલી વચ્ચે આંશિક રદ રહેશે. રીશિડ્યુલ કરાયેલી ટ્રેનોમાં 10 જાન્યુઆરીની 12902 અમદાવાદ–દાદર એક્સપ્રેસ 20 મિનિટ, 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ 45 મિનિટ મોડી પડશે. જ્યારે 11 જાન્યુઆરીની 22953 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ મોડી દોડશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

નકલી લેટરથી સરકારી નોકરી આપવાનો મામલો:રેલવેના નામે થયેલું કૌભાંડ 40 વિભાગમાં ફેલાયું હોવાનું ખૂલ્યું, EDના ગુજરાત સહિત 6 રાજ્યમાં 15 સ્થળે દરોડા

સરકારી નોકરી મેળવવાની લાલચ આપી નકલી ઓફર લેટર મોકલવાના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે કાર્યવાહી હાથ ધરી હતી. મની લોન્ડરિંગની તપાસ અંતર્ગત ED દ્વારા દેશના 6 રાજ્યમાં દરોડા પડાયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, EDએ કુલ 6 રાજ્યમાં 15 સ્થળે એક સંગઠિત ગેંગ સામે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જે લાંબા સમયથી નકલી સરકારી નોકરીના ઓફર લેટર દ્વારા લોકોને છેતરતી હતી. પટણા સ્થિત ED ઓફિસ દ્વારા બિહાર, પ.બંગાળ, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને ઉ. પ્રદેશમાં એક સાથે દરોડા પડાયા હતાં. જેમાં જાણવા મળ્યું કે શરૂઆતમાં આ કૌભાંડ રેલવે વિભાગના નામે સામે આવ્યું હતું, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલ્યું કે આ ઠગાઈ 40થી વધુ સરકારી સંસ્થાઓ અને વિભાગો સુધી ફેલાયેલી છે. જેમાં રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ, વન વિભાગ, ઇન્ડિયા પોસ્ટ, આવકવેરા વિભાગ, કેટલીક હાઇકોર્ટ, બિહાર સરકારના વિવિધ વિભાગો, દિલ્હી ડેવ. ઓથોરિટી , રાજસ્થાન સચિવાલય સહિત અનેક સરકારી સંસ્થાઓના નામનો દુરુપયોગ થયો હતો. ગેંગ દ્વારા નકલી ઓફર લેટરની રકમથી મની લોન્ડરિંગ કરાતું હતું. હાલ સર્ચમાં મળેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવાના આધારે વિસ્તૃત તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:રાજકોટ તાલુકા પંચાયતની કૌભાંડની નવી નીતિ, પહેલા કામ કરાવી નાખ્યા, પછી ટેન્ડર પ્રસિદ્ધ કર્યા

ઈમરાન હોથી ગામ, તાલુકો કે શહેર કોઈપણ વિસ્તાર હોય તેમાં ટેન્ડર કરાયા બાદ કામ ચાલુ થવામાં વિલંબ થતા હોય છે અને ભાગ્યે જ જે સમય મર્યાદા અપાઈ હોય તે મુજબ કામ થાય છે. જોકે રાજકોટ તાલુકા પંચાયતમાં તો ટેન્ડર કરતા પહેલા જ કામ કરી નાખ્યા છે. હવે ટેન્ડર ફોર્મ પણ નિશ્ચિત એજન્સીઓ પાસે જ લેવડાવી કામના માત્ર બિલ બનાવી ખાયકી કરવાનું નવું કૌભાંડ દિવ્ય ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથીરિયા અને તાલુકા વિકાસ અધિકારી વનરાજસિંહ ચૌહાણની સહીથી 27 અને 31 ડિસેમ્બરના દિવસે બે નિવિદા બહાર પડાઈ છે. મજૂર બાંધકામ મંડળીઓ પાસે કામ આપવાની આ નિવિદામાં ફક્ત ટેન્ડર ક્રમ લખ્યા હતા કામના નામ લખ્યા ન હતા. કામના નામો તેમજ ટેન્ડર ફોર્મ પણ જાહેર કરાતા ન હતા. જેથી દિવ્ય ભાસ્કરની ટીમે તાલુકા પંચાયત કચેરીના સૂત્રો પાસેથી કામના નામ મેળવ્યા હતા. કુલ 47 લાખના 5 કામ ચકાસ્યા હતા. જેમાં સણોસરા ગામમાં બે સ્થળે સીસીરોડ બનાવવાના 20 લાખના કામ તેમજ સોખડા ગામે 7 લાખના ખર્ચે દીવાલ બનાવવાના કામની તપાસ કરાતા તે સ્થળોએ તો તાજેતરમાં જ કામ થઈ ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ કામ ક્યારે થયું તે જાણવા ગ્રામજનો સાથે વાત કરતા તેઓએ પણ એકાદ બે મહિનામાં જ કામ કરાયાનું કહ્યું હતું. કૌભાંડનું કારણ | મનગમતા સિવાય અન્ય કોઈ ટેન્ડર ન ઉપાડે માટે આવું કરાઈ છેરાજકોટ તાલુકા પંચાયતમાં ટેન્ડર પહેલાં કામ કરાવવા પાછળ મોટી નાણાકીય ગેરરીતિ કરવાનું પરિબળ જવાબદાર છે. જ્યારે કોઇ વિસ્તારમાં સીસીરોડ કે પછી અન્ય કામ ચાલુ હોય અને તેમાં લોખંડ કે સિમેન્ટ વાપરવામાં ગેરરીતિ થતી હોય છે. કોઇ ફરિયાદ કરે તો ઈજનેરો તપાસ કરીને ટેન્ડર મુજબનો માલ સ્થળ પર ન મળે તો દંડ કરે છે. જોકે એડવાન્સમાં કામ થાય અને જો કોઇ ફરિયાદ કરે તો ઈજનેરોને જ કાગળ પર ત્યાં કોઇ કામ ન હોવાનું કરીને અરજી દફ્તરે કરી શકે છે. આ ઉપરાંત જ્યારે કોઇ પણ અન્ય ફોર્મ ઉપાડે તો તેને પણ સમજાવી દેવાય છે કે તે કામ થઈ ગયું છે એટલે બીજા કોન્ટ્રાક્ટર નેતાઓ સાથે અદાવતમાં ન પડતા ફોર્મ ઉપાડતા નથી. અમારા અનુસૂચિત જાતિ વાસમાં 10માં મહિનામાં સીસીરોડ બન્યાહું અનુસૂચિત જાતિ વાસમાં રહું છું અને અમારા વિસ્તારમાં 10માં મહિનામાં આખા વિસ્તારમાં સીસીરોડના કામ કરવામાં આવ્યા છે. પ્રમુખ ચેતન કથીરિયા ખૂબ જ સારી અને ઝડપી કામ કરાવી રહ્યા છે. હાલ અમારા વિસ્તારમાં ક્યાંય પણ રોડ-રસ્તા બાકી રહ્યા નથી. > છગનભાઈ પરમાર , ગ્રામજન સણોસરા ટીડીઓએ પ્રસિદ્ધ કરેલી નિવિદારાજકોટ તાલુકા પંચાયતના ટીડીઓએ આ બે નિવિદા પ્રસિદ્ધ કરાવી તેના દોઢ મહિના પહેલા કુલ કામમાંથી 7 કામ થઈ ગયા હતા. ટીડીઓ કહે,‘ખબર નથી તપાસ કરાવીશું’, પ્રમુખ કહે, ‘સંબંધમાં અમુક કામો પહેલા કરાવ્યા!’ટેન્ડર બહાર પાડ્યા હોય અને તે સ્થળે અગાઉથી કામ કરી નાખ્યા હોય તેવું મારા ધ્યાનમાં નથી. આવું તો કરાતું ન જ હોય. જો કામ થઈ ગયા હોય તો તેની અલગ પ્રોસિજર છે. સણોસરા અને સોખડામાં ટેન્ડર અને સ્થળ તપાસ કરાવીશુ. > વનરાજસિંહ ચૌહાણ, ટીડીઓ-રાજકોટ

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક:બાળકને સાઈકલ પરથી પછાડી, કપડાં ખેંચીનેય બચકાં ભરવાનું ન છોડ્યું

સુપ્રીમ કોર્ટે દેશમાં રખડતા કૂતરાઓના કરડવાની ઘટનાને કારણે લોકોની સલામતીની ગંભીર ચિતા વ્યક્ત કરીનેશ્વાનોના આતંકને અંકુશમાં લેવા રાજ્ય સરકારોને નિર્દેશ કર્યા હોવા છતાં તેનું પાલન થઇ રહ્યું નથી. મોરબીના સામાકાંઠે આવેલી હરિપાર્ક સોસાયટીમાં એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. આ સોસાયટીમાં એક બાળક ઉપર કૂતરાએ ઓચિંતા જ હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે, હરિપાર્ક સોસાયટીના રોડ ઉપર બાળક સાઇકલ લઈને નીકળ્યો હતો. ત્યારે ઓચિંતા જ ત્યાં રોડ ઉપર રખડતા કૂતરાએ સાયકલ પર જતા બાળક ઉપર સીધો જ પ્રહાર કરી દીધો હતો. કૂતરાના ઓચિંતા હુમલાથી બાળક એકદમ ગભરાઈ ગયો હતો. જો કે, કૂતરાએ બાળક ઉપર હુમલો કરી સાયકલ પરથી નીચે પછાડીને પણ છોડ્યો ન હતો અને બાળક તેનાથી બચવા પ્રયાસ કરે છે. પણ બાળકના કપડાં ખેંચીને બચકા ભરવા પ્રયાસ કરતો હોવાથી બાળકે રાડારાડી કરી મૂકી હતી. આથી તુરંત જ આસપાસના લોકોને દોડી જઈને કૂતરાને તગેડી મુકતા બાળકનો જીવ બચી ગયો હતો. આસપાસના લોકોના કહેવા મુજબ આ કૂતરાએ બાળક ઉપરાંત આઠથી દસ લોકોને બચકા ભર્યા હતા મનપા પાસે રખડતા શ્વાન પકડવા માટે સાધનો કે સ્ટાફ જ નથી‎મોરબી પહેલા નગરપાલિકા વખતે રખડતા કૂતરા પકડવા માટે કોઈ સાધનો કે સ્ટાફ જ ન હતો. આ બેદરકારીનો દોર મહાપાલિકાએ પણ જાળવી રાખ્યો છે. ડોગ બાઈટના કેસ ગંભીર રીતે વધી રહ્યા છે. મનપાને એક વર્ષ થયું એની ભપકાદાર ઉજવણી પણ કરી નાખી પણ સૌથી અગત્યની લોકોની સલામતી માટે એક વર્ષમાં રખડતા કૂતરા પકડવા માટે સાધનો કે સ્ટાફ ઉપલબ્ધ કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. નિયમ એવો છે કે, રખડતા કૂતરાનું જે તે સ્થળે જ રસીકરણ કરીને ત્યાં જ છોડી દેવાના હોય છે. પણ મહાપાલિકા પાસે આવો ખાસ સ્ટાફ જ ન હોવાથી હવે રખડતા કુતરાથી લોકોને ભગવાન જ બચાવી શકે તેવી સ્થિતિ છે. ગયા આખા વર્ષમાં 4578 અને માત્ર 8 દિવસમાં ડોગ બાઈટના 234 કેસ‎મોરબીમાં કુતરા કરડવાના બનાવો ચિતાજનક હદે વધી ગયા છે. જેમાં ગયા વર્ષ એટલે 2025માં 4579 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. આ તો આખા વર્ષમાં આટલા કેસ નોંધાયા એના કરતાં પણ સૌથી વધુ ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે નવું વર્ષ એટલે 2026 શરૂ થયું એના માત્ર 8 દિવસ જ વીત્યા છે. આટલા ટૂંકાગાળામા 234 કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. એટલે હજુ તો આખું વર્ષ બાકી છે. એટલે આ વર્ષે ડોગ બાઈટના કેસ કેટલા કેસ વધશે એની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

વાહનચાલકોને પડેશે 2 કિમીનો ફેરો:રોડ રિસરફેસિંગ સહિતની કામગીરી માટે કડિયા પ્લોટ ફાટક 6 દિવસ બંધ રહેશે

પોરબંદરના કડીયા પ્લોટ રોડ પર આવેલ ફાટકનું રેલ્વે વિભાગ દ્વારા રોડ રીસરફેસિંગ સહિતની કામગીરી માટે તા.10 જાન્યુઆરી સાંજે 6 કલાકથી તા.16 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે.રેલ્વે વિભાગ દ્વારા આ ફાટક 6 દિવસ બંધ રહેતે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ માર્ગો પર રેલ્વે ફાટક આવેલ છે. પોરબંદરના કડીયા પ્લોટ વિસ્તારમાં જતા રસ્તે પણ રેલ્વે ફાટક આવેલ છે ત્યારે આ ફાટકના બિસ્માર રસ્તાનું સમારકામ સહિતની કામગીરી માટે રેલ્વે વિભાગ દ્વારા કડીયા પ્લોટનું ફાટક તા.10 જાન્યુઆરી સાંજે 6 કલાકથી તા.16 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે રેલ્વે વિભાગ દ્વારા આ ફાટક 6 દિવસ બંધ રહેતે તેવી જાહેરાત કરવામાં આવી છે.જે અંગેનો એક પત્ર પણ સોસીયલ મીડિયામ વાઇરલ થયો છે. હજારો વાહનચાલકોને 2 કિલોમીટર ફેરો થશેપોરબંદરના કડીયા પ્લોટ જતા રસ્તે આવેલ ફાટક 6 દિવસ બંધ રાખવામાં આવશે ત્યારે આ રોડ પરથી દિવસ દરમ્યાન પસાર થતા હજારો વાહનચાલકોને 2 કિલોમીટર ફરી ફાયર બ્રિગેડ રોડ પરથી જવાની ફરજ પડશે. જેથી વાહનચાલકો મુશ્કેલી વેઠવી પડશે

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

સોમનાથ કાર્યક્રમ:2000 શિક્ષકો ભેગા કરવાનો ટાર્ગેટ અપાયો

આગામી 11 જાન્યુઆરીના રોજ સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં વડાપ્રધાન સોમનાથ સભા સંબોધવાના હોવાથી તેમાં એક લાખ લોકોની જનમેદની ભેગી થવાની છે. જૂનાગઢ જિલ્લાના 2000થી વધુ શિક્ષકો ભેગા કરવાનો શિક્ષણવિભાગને ટાર્ગેટ અપાયો છે. જેને લઇને શિક્ષણાધિકારી, નાયબ શિક્ષણાધિકારી, બીઆરસી, સીઆરસી સહિતના તમામ અધિકારી- કર્મચારી ટાર્ગેટ પૂરો કરવાના કામમાં વ્યસ્ત બન્યા છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઇ ગઇ છે. જે તારીખ 11 જાન્યુઆરી સુધી ચાલનાર છે. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાનનો રોડ શો તેમજ સભાનુ આયોજન કરાયુ છે. જેમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે. આ લોકો ભેગા કરવા માટે શિક્ષણવિભાગને 2000થી વધુ શિક્ષકો ભેગા કરવાનો ટાર્ગેટ અપાયો છે. જેમાં તાલુકા મુજબ 2 થી 4 બસોની ફાળવણી કરવામાં આવનાર છે. હાલ જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ શિક્ષણાધિકારી, બીઆરસી, સીઆરસી કો- ઓર્ડીનેટર સહિતના તમામ ટાર્ગેટ પૂરો કરવાના કામમાં લાગી ગયા છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

આયોજન:જામ્યુકોને પીએમ સ્વનિધિ યોજનામાં દ્વિતીય ક્રમાંકનો એવોર્ડ, આસી. કમિશનરે સ્વીકાર્યો

જામનગર શહેરમાં નાના ધંધાર્થીઓના આર્થિક ઉત્થાન માટે લોન પુરી પાડવા માટેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી છે. આ યોજનામાં સારી કામગીરી કરનાર મહાનગરપાલિકાને સન્માન કરવા માટે આજે ગુરૂવારે ગાંધીનગર ખાતે યોજાયેલા સ્વનિધિ સમારોહ યોજાયો હતો. જેમાં જામ્યુકોનો રાજ્યકક્ષાએ બીજો નંબર આપતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025 ની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગાંધીનગર ખાતે સ્વનિધિ સમારોહ-2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જામનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પી.એમ. સ્વનિધિ યોજના ના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યની મેજર સીટીઝ (Major Cities)ની કેટેગરીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાયેલા આ ગૌરવવંતા કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા વતી આસિસ્ટન્ટ કમિશ્નર (વહીવટ) મુકેશ વરણવા એ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત જામનગરના નાના અને ફેરિયા વ્યવસાયકારોને લોન સહાય પૂરી પાડવા અને તેમના આર્થિક ઉત્થાન માટે જામનગર મહાનગરપાલિકાએ સરાહનીય કામગીરી કરી છે, જેની નોંધ રાજ્ય સ્તરે લેવામાં આવી છે. આ સિદ્ધિ બદલ મ્યુનિસિપલ કમિશનર અને સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

રજૂઆત:પટેલ કોલોનીમાં દૂષિત પાણી વિતરણ, તંત્ર હરકતમાં આવ્યું

શહેરના પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી દુષિત પાણીના વિતરણ મુદદે સ્થાનિકોના આક્રોશનો વિસ્તૃત અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ્ થયો હતો.જે બાદ ગુરૂવારે કોંગ્રેસ દ્વારા સ્થાનિક લોકો સાથે મનપા કચેરીએ સામુહીક રજુઆત કરાઇ હતી.જે સાથે ગટરનુ પાણી મિશ્રિત થતુ હોવાની બાબતે આવેદન અપાયુ હતુ.ત્વરીત મનપાનુ તંત્ર પણ હરકતમાં આવ્યુ હતુ અને બે દિવસમાં સમસ્યાના નિરાકરણની ખાતરી પણ અપાઇ હતી. શહેરના પટેલ કોલોની-9 સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણીમાં દુર્ગંધયુકત દુષિત પાણીનુ વિતરણ થતુ હોવાના મામલે સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.જે પાણીનો પીવામાં તો ઠીક પણ ઉપયોગ પણ દોહ્યો બન્યો હોવાનો આક્રોશ સ્થાનિકોએ વ્યકત કર્યો હતો.જે દરમિયાન ગુરૂવારે શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંબંધિત વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી મહાનગરપાલિકા કચેરીએ પણ સામુહિક રજુઆતો કરાઇ હતી. આ મામલે કોંગ્રેસ દ્વારા આવેદન પણ પાઠવાયુ હતુ જેમાં જણાવાયા અનુસાર સ઼બંધિત વિસ્તારના લોકોને દુષિત પાણીના કારણે પાણીજન્ય રોગો થઇ રહયા છે.ત્યારે કોઇ મોટી જાનહાની થાય તે પહેલા તાકિદે જરૂરી પગલા લઇ લોકોની જીંદગી સાથે ચેડા ન થાય અને લોકોને સ્વચ્છ પાણી મળે એવી આવેદનમાં રજુઆત કરી હતી.આ દરમિયાન મનપાના સત્તાધિશો દ્વારા ઉપરોકત સમસ્યા મામલે 48 કલાકમાં પાણી સંબંધિત ફરીયાદનો હલ કરવા કાર્યવાહીની ખાત્રી પણ હતી. પાણી પીવાથી 4 લોકો બિમાર: રહીશો લગભગ પખવાડીયાથી દુર્ગંધયુકત સંભવત ગટર મિશ્રિત દુષિત પાણીના વિતરણના કારણે લોકો પીવામાં ઉપયોગ કરી શકતા નથી.જે દરમિયાન સંબંધિત વિસ્તારના ચારેક લોકો પણ પાણીજન્ય બિમારીનો ભોગ બની ચુકયા હોવાનુ પણ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ.જે સાથે દુષિત જળના સેમ્પણ પણ તંત્ર સમક્ષ રજુ કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

રમત ગમત:સાંસદ સંસ્કૃતિ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં અમરેલી વિદ્યાસભાના છાત્રોએ પ્રથમ સ્થાન મેળવ્યું

અમરેલીમાં 4 થી 5 જાન્યુઆરીના રોજ સાંસદ સંસ્કૃતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ તાલુકાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં અમરેલી વિદ્યાસભા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સના વિદ્યાર્થીઓએ સંસ્કૃતિ- સંગીતમાં પોતાની પ્રતિભાનો ઉત્તમ પરિચય આપી સિદ્ધી હાંસલ કરી હતી. જેમાં વાઘ યશએ મરશિયામાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. તેમજ અજાણી નૈનશીએ હાલરડુંમાં કાંસ્ય પદક મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. અમરેલીમાં સાંસદ સંસ્કૃતિ સ્પર્ધામાં ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓએ સિદ્ધી મેળવી હતી. વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

યુથ પાર્લામેન્ટનું કરાયું આયોજન:રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ‎યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટ યોજાઈ‎

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં માય યુવા ભારત તથા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવી ઉપસ્થિત રહ્યા હતા. જેમની સાથે ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ, સ્થાનિક અગ્રણી અજીત પરીખ, કોલેજના આચાર્ય, યુનિવર્સિટીની રાષ્ટ્રીય સેવા યોજનાના કો-ઓર્ડિનેટર, માય યુવા ભારતના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ચંદ્રકાન્ત બક્ષી, જનજાતિ કલ્યાણ આશ્રમના ડૉ. પ્રેમપ્યારી તડવી, સરકારી વકીલ વંદનાભટ્ટ, એમ.આર.કોલેજ રાજપીપલાના અધ્યાપક નિર્ણાયક તરીકે અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુથ પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓ-યુવાનોએ 50 વર્ષ પૂર્વેના ભારત, તે સમયગાળાની રાજકીય અને લોકશાહી પરિસ્થિતિ, કટોકટીના સમયની અસરો તેમજ આગામી 50 વર્ષમાં ભારતની લોકશાહી અને વિકાસ કેવી રીતે આગળ વધશે તે અંગે ચર્ચા સાથે પોતાના મંતવ્યો પ્રસ્તુત કર્યા હતા. વડાપ્રધાનના વિકસિત ભારત – આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોની ભૂમિકા વિષયક વિચારોએ કાર્યક્રમને વિશેષ પ્રેરણાદાયી બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

પરિસંવાદ યોજાયો:રાજપીપલા ખાતે પ્રથમવાર રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ યોજાયો‎

ગુજરાત સાહિત્ય અકાદમી તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, નર્મદા સાહિત્ય સંગમ તથા એમ. આર. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને સંસ્થાના પ્રમુખ પી.ડી.વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગઝલ સાહિત્યના વિકાસ, તેના સ્વરૂપ અને સમય સાથે થયેલા પરિવર્તન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પરિસંવાદમાં વક્તા તરીકે જાણીતા કવિ મંગળ રાવળ, રમેશ પટેલ તથા નૈષધ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગઝલનું સ્વરૂપ અને વિકાસ, ગઝલના પ્રચલિત છંદોના બંધારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પરંપરાગત ગઝલ અને આધુનિક ગઝલ વચ્ચેનો તફાવત, તેમાં રહેલું સાતત્ય તથા બંને વચ્ચેનો સમન્વય સરળ ભાષામાં સમજાવ્યો હતો, જેનાથી ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓને ગઝલ લેખનની ઊંડી સમજ મળી. આ પ્રસંગે બિરસામુંડા યુનિવર્સિટી, રાજપીપળાના વાઇસ ચાંસેલર ડૉ. મધુકર પાડવી, એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોળા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિ જગતાપ સહિત અનેક સાહિત્યરસિકો, વિદ્યાર્થીઓ અને કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

પતંગ મહોત્સવનું નવું આકર્ષણ:કેવડિયાના આકાશમાં 79 દેશી - વિદેશી પતંગો દેખાશે

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવની તૈયારીઓની ચકાસણી માટે અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમનાં પૂર્વ તૈયારીના સુચારૂ આયોજનના ભાગરૂપે મદદનીશ કલેકટર તથા કાર્યક્રમના નોડલ અધિકારી પરસનજીત કૌર સહિત સંબંધિત અધિકારીઓએ મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા હતાં. પરસનજીત કૌરએ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક થાય તે હેતુથી સંબંધિત અધિકારી ઓને સોંપાયેલ કામગીરી અંગે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય તેમજ દેશભરમાંથી આવનાર પતંગબાજો માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્ટોલની ગોઠવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તથા આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા. નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 તેમજ ગુજરાત સહિત ભારતના 34 મળીને કુલ 79 પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો દ્વારા એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશી સુંદર દૃશ્ય સર્જાશે, જે પ્રવાસીઓ અને નાગરિકો માટે વિશેષ આકર્ષણ બનશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

પાલિકા ટીમે શહેરમાં પાણીની ચકાસણી કરી‎:રાજપીપળા કસ્બાવાડમાં ઝાડા ઉલ્ટીના 13 કેસો, તંત્ર : કલોરીનની માત્રા બરાબર

રાજપીપળા શહેરના કસ્બાવાડ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાયો છે. 15થી વધુ દર્દીઓ નોંધાયા હોવા છતાં પાલિકા તંત્રએ દાવો કર્યો છે કે, પાણીમાં કલોરીનની માત્રા બરાબર છે તેથી રોગચાળો ફેલાવો પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર હોય શકે છે. હાલ તો શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યાં છે. રાજપીપળામાં આવેલા કસ્બાવાડ વિસ્તાર માં તાજેતરમાં ઝાડા-ઉલ્ટીના 13 જેટલા દર્દીઓ મળી આવ્યાં છે. રોગચાળાની જાણ થતાંની સાથે પાલિકા ટીમે તાત્કાલિક આખા શહેરમાં પાણીની ચકાસણી હાથ ધરી છે. પાણીમાં ક્લોરિન ની માત્રા કેટલી છે તેની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે રહી છે. પાલિકાની ટીમના જણાવ્યા મુજબ પાલિકાના પાણી માં ક્લોરિન યોગ્ય માત્રમાં જ છે અને આ પાણીથી કોઈ રોગચાળો થાય તેમ નથી તેવું જોવા મળ્યું છે. હજુ આખા શહેર માં પાણીના ચેકીંગની કામગીરી ચાલી રહી છે. કસ્બાવાડ વિસ્તારમાં પાણીના કારણે ત્યાંના લોકોને રોગચાળો થયો તેમ લાગતું નથી. અન્ય કોઈક કારણસર આમ બન્યું હોય શકે એવું તંત્ર નું કહેવું છે.રોગચાળો ફેલાવો પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર હોય શકે છે. હાલ તો શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યાં છે. પાણીમાં કલોરીનનું પ્રમાણ આ મુજબ હોવું જોઇએ‎‎છેવાડાના ઘરમાં આપવામાં‎‎આવતાં પીવાના પાણીમાં‎‎ઓછામાં ઓછો 0.2 પીપીએમ‎રેસીડયુઅલ કલોરીન હોવો જોઇએ. રોગચાળા દરમિયાન કલોરીનની‎માત્રા 0.5 પીપીએમ જેટલી હોય છે. નગરપાલિકાએ બ્રાહમણ ફળિયા,‎રાજેન્દ્રનગર સોસાયટી, લીમડાચોક, ટેકરા ફળિયા સહિતના‎વિસ્તારોમાંથી લીધેલાં પાણીના નમૂનાઓમાં કલોરીનની માત્રા નિયત‎પ્રમાણમાં જોવા મળી હતી.‎

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

કરુણા અભિયાન:જિલ્લામાં પશુ દવાખાના-વન વિભાગ 4 સ્થળે દોરીથી ઇજા પામેલા પક્ષીઓની સારવાર કરશે

આગામી ઉતરાયણ પર્વ નિમિત્તે વલસાડના સરકારી પશુ દવાખાના દ્વારા તા.10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત વલસાડની ઉડીપી હોટલના સામે આવેલા સરકારી પશુ દવાખાના તથા પારનેરા પારડી ખાતે સ્થિત વિવિધલક્ષી પશુચિકિત્સાલય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડના સરકારી પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડો.દિવ્યા પટેલે જણાવ્યું કે, ઘાયલ પક્ષીઓની સારવાર માટે પશુ ચિકિત્સકોની અલગ અલગ ટીમ બનાવી ડ્યુટીની સોંપણી કરવામાં આવી છે.વન વિભાગ દ્વારા વલસાડના ફાયર સ્ટેશન તથા ધરમપુર ચોકડી ખાતેનાં કેમ્પમાં ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર માટે પશુ ચિકિત્સાલય વલસાડ ખાતે લાવવામાં આવશે. રેસ્ક્યુ માટે વનકર્મીઓ, વિવિધ એનજીઓ તથા વોલન્ટીયર સાથે મીટિંગ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.વલસાડ શહેર તથા આસપાસની જનતાને ખાસ સંદેશ આપવામાં આવે છે કે, ઉતરાયણના દિવસે વહેલી સવારે તથા સાંજના સમયે પક્ષીઓની માળામાં આવન જાવન થતી હોવાથી આ સમયે શક્ય હોય તો પતંગ ઉડાવવાનું ટાળવું જોઈએ. વધુમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા ટુક્કલનો પતંગ ઉડાડવામાં ઉપયોગ ન કરવો જોઈએ.આ કરૂણા અભિયાનના દિવસો દરમિયાન ઘાયલ પક્ષીના રેસ્ક્યુ અને સારવારની વધુ વિગત માટે વલસાડના સરકારી દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડૉ.દિવ્યા પટેલનો મો.નં.8238887966 પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયુ છે. પારડીમાં દોરામાં ફસાયેલું ઘુવડનું રેસ્ક્યુ પારડીમાં પતંગના દોરામાં ફસાયેલા એક ઘુવડને જીવદયા ગ્રુપે સુરક્ષિત રીતે બચાવી લીધું છે.આ ઘટના પારડી SBI બેંક સામે એક બિલ્ડિંગમાં સવારે 7 વાગ્યે બની હતી.સ્થાનિક લોકોએ ઘુવડને ફસાયેલું જોતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી.માહિતી મળતા જ ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને રિશી ઠાકુર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.લાંબા પ્રયાસો બાદ તેમણે ઘુવડનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

કડક કાર્યવાહી:ઉમરગામમાં 18 દિવસમાં પ્લાસ્ટીક બેગનો 250 કિલો જથ્થો જપ્ત કરાયો

ઉમરગામ પાલિકા તંત્ર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે. પાલિકાના અધિકારીઓ દ્વારા છેલ્લા 18 દિવસમાં ગાંધીવાડી સહિતના વિસ્તારની દુકાનો અને ગોડાઉનમાં રેઇડ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલોથી વધુ જથ્થો જપ્ત કરી અત્યાર સુધીમાં 70 હજારથી વધુનો દંડ વસૂલ્યો છે. ઉમરગામ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ ઉપર રોક લગાવવા માટે કામગીરી કરવામાં આવી હતી પરંતુ કેટલાક સ્થાનક વેપારીઓ તેમજ નગરજનો તરફથી જોઈએ એટલો સહકાર ન મળતા સમગ્ર પાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો જોવા મળે છે. રવિવારી હાટ બજારમાં આવતા વેપારીઓ પુષ્કળ પ્રમાણમાં કચરો નાંખી જતા હોય છે તેજ રીતે અન્ય વિસ્તારમાં લોકો ગંદકી કરી રહ્યા છે.પાલિકા દ્વારા સફાઈ માટે મહિનામાં લાખોની રકમ ખર્ચ કરવામાં આવે છે તેની સામે ઉમરગામ શહેર વિસ્તારમાં ગંદકી સફાઈ કરવામાં પાલિકા જોઈએ એટલી સફળ નજરે પડતી નથી. સફાઈની કામગીરીમાં પાલિકા દ્વારા થતો વહીવટ સામે પણ શંકા સેવાઈ રહી છે. લાખોનો ખર્ચ કર્યા બાદ પણ નગરની અંદર ઠેર ઠેર ઉડતા પ્લાસ્ટિકનો કચરો ઘણું બધું દર્શાવી રહ્યું છે ત્યારે અચાનક પાલિકા એક્શન મોડમાં આવતા પર્યાવરણ પ્રેમી નગરજનોમાં આશા જાગી છે.ગુરૂવારે એક સપ્લાયરની બંધ ગોડાઉનમાં છાપો મારી મોટો જથ્થો જપ્ત કન્યાનું જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

સોમનાથ સ્વાભિમાન પર્વ:ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ , આરાધનાનો ત્રિવેણી સંગમ સર્જાયો‎

આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના 1 હજાર વર્ષની ભવ્ય ઉજવણીના સોમનાથ સ્વાભિમાન પર્વ'' નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર પર્વના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ જામ્યો છે. વલસાડના સુપ્રસિદ્ધ ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં આ અવસરે શ્રીચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિરે સતત 72 કલાક સુધી મહાદેવની વિશેષ પૂજા-અર્ચનાઅને શિવ આરાધના શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવનો અભિષેક કરવામાં આવશે.પ્રથમ દિવસે ભક્તો દ્વારા અખંડ શિવ ધૂન અને કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ પવિત્ર પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી સોનલબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે જિ. મહામંત્રી કમલેશ પટેલ,તાલુકા પ્રમુખ તેજસ પટેલ અને મહામંત્રી અમૃત ટંડેલ, સંગઠનના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પૂજ્ય સાધુ-સંતોએ ઉપસ્થિત રહી મહાદેવના આશીર્વાદ લીધા હતા. સ્વાભિમાન પર્વનું મહત્વ વક્તાઓએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર એ ભારતની અસ્મિતાનું પ્રતીક છે. 1000 વર્ષની આ ઉજવણી આવનારી પેઢીને આપણા ભવ્ય વારસા અને સંઘર્ષની ગાથાથી પરિચિત કરાવશે, વલસાડના ભક્તોમાં પણ આ ત્રિવેણી સંગન પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

દર વર્ષની માફક વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું:મકરસંક્રાંતિમાં ચાઈનીઝ તુક્કલ‎નાયલોન દોરી ઉપર પ્રતિબંધ‎

વલસાડ જિલ્લામાં આગામી તા. 14 જાન્યુઆરી, 2026 ના રોજ મકરસંક્રાંતિ તહેવાર દરમિયાન જાહેર સલામતી, પશુ-પક્ષી સંરક્ષણ તેમજ પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઈને વહીવટી તંત્રએ ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક તથા નાયલોન દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રકારના હાનિકારક સામગ્રીના ઉપયોગથી આગ લાગવાની ઘટનાઓ, માનવી તેમજ પશુ-પક્ષીઓને જાનહાનિ અને જાહેર-ખાનગી મિલકતને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. આ સંભાવનાઓ અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને તા. 17 જાન્યુઆરી, 2026 સુધી માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કર્યો છે.જેમુજબ પરંપરાગત રીતે બનાવવામાં આવેલ કોટનનો માંજો, જેમાં કુદરતી ઘટકોનો ઉપયોગ કરાયો હોય અને નિર્ધારિત પ્રમાણમાં કાચના પાવડરનો સમાવેશ થતો હોય, તેનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત જાહેર રસ્તાઓ, ગલીઓ, શેરીઓ, રેલ્વે લાઇન તથા ઇલેક્ટ્રિક અને ટેલીફોન વાયરોની નજીક પતંગ ઉડાડવા કે કપાયેલા પતંગો મેળવવા માટે દોડધામ કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સપેક્ટર કે તેથી ઉપરના હોદ્દાના અધિકારીઓને હુકમના અમલ માટે અધિકૃત કરવામાં આવ્યા છે. દર વર્ષે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાનહાની અને નુકશાની થતી રોકવા માટે ચાઇનીઝ તુક્કલ અને નાયલોન દોરી ઉપર પ્રતિબંધ મુક્યાનો આદેશ કરતા હોય છે. જોકે, પતંગની સામાન્ય દોરીથી પણ પશુ-પક્ષી અને માનવને ઇજા પહોંચે છે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વલસાડ રેલવે અન્ડર પાસ પ્રિકાસ્ટના કામો માટે 50 દિવસથી બંધ, 22 હજાર લોકોને 4 કિમીનો ચકરાવો

હસીન શેખવલસાડ મોગરાવાડી રેલવે અન્ડરપાસના બ્લોકની કામગીરીના કારણે છેલ્લા 50 દિવસ વિતી ગયા છતાં ક્યારે ખોલાશે તેની રેલવે તંત્ર દ્વારા કોઇ સત્તા‌વાર જાહેરાત નહિ થતાં 22 હજાર રહીશોને લાંબા સમયથી પરેશાનીનો ભોગ બની રહ્યાં છે. વલસાડ મોગરાવાડી ખાતે પ.રેલવે ગરનાળા ક્રમાંક 329 પીએસસી ગર્ડર બદલવાની કામગીરી સ્લેબ માટે 20 નવેમ્બર 30 નવેમ્બર સુધી અંડરપાસ ગરનાળાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ મુદત પૂરી થવાના આગલા દિવસે 29 ડિસેમ્બર રેલ્વે તંત્રે મુદત વધારાનું વધુ એક માસ 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરતાં 22 હજારથી વધુ વસ્તીને ભારે આંચકો લાગ્યો પણ તેનાથી વધુ અચંબો તો ત્યારે થયો કે 1 જાન્યુઆરીએ ખોલવાની જાહેરાત નહિ કરી વધુ 8 દિવસ વિતી ગયા છતાં રેલવે તંત્ર કે નગરપાલિકા સત્તાધીશો,સભ્યોને પણ રેલવે તંત્ર સમક્ષ અન્ડર પાસ કેમ ખોલવામાં આવ્યું નહિ તેવી રજૂઆતો કરવાની ફુરસદ મળી નહિ. જ્યારે ગુરૂવારે પાલિકાના મોગરાવાડી ઝોનના માજી વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ,પૂર્વ કાઉન્સિલર સંજય ચૌહાણ મેનેજર,વિજય પટેલ દ્વારા અન્ડર પાસ ક્યારે ચાલું થશે તે માટે વાતચીત કરતાં બે ત્રણ દિવસ લાગશે તેવું જણાવતા સોશ્યિલ મીડિયા દ્વારા આ અન્ડર પાસ ખુલ્લું કરવાની તૈયારી થઇ રહી હોવાનું જણાવ્યું હતું.જો કે અન્ડર પાસ બંધ કરવાના બોર્ડ મારે છે પણ નિર્ધારિત સમયે ખુલ્લું કરવા અંગે રેલવે તંત્ર કોઇ સત્તાવાર બોર્ડ કે જાહેરાત કરતું નથી. શાસક પક્ષના સભ્યો હવે જાગ્યામોગરાવાડી અન્ડર પાસ ત્રણેક દિવસમાં ખુલ્લું થઇ જશે તેવી માહિતી જાહેર કરતાં ભાજપના સ્થાનિક સભ્યો દોડતાં થઇ ગયા હતા. રેલવે તંત્રએ અન્ડરપાસમાં રાહદારીઓ માટે ચાલવાની અગાઉની 3 ફુટ પહોળી પાળી તોડીને દોઢેક ફુટની સાંકડી કરી દેતાં વિપક્ષનાસભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. તંત્ર દ્વારા ગુરૂવારે પાળી પહોળી કરવાની તજવીજ, અન્ડરપાસમાં સફાઇ અને લાઇટ લગાવવી પણ દોડધામ શરૂ થઇ જતાં વિપક્ષના માજી સભ્યોએ હવે તેમની આ દોડધામ સામે જાગ્યા તેવો ટોણોં માર્યો હતો. નીચાણમાં ભૌગોલિક પરિસ્થિતિનો પડકાર‎મોગરાવાડીના રેલવે અન્ડર પાસ વલસાડ અને મોગરાવાડી વચ્ચેના‎નીચાણવાળા વિસ્તારમાં અંગ્રેજોના પૂરાણાં સમયથી બનેલો છે.આ ભૌગોલિક‎‎પરિસ્થિતિ પાલિકા અ્ને તંત્ર માટે‎‎પડકાર જનક છે.કારણ કે વલસાડ‎શહેરના બેચર રોડથી મોગરાવાડી જવાનો ભાગ નીચાણવાળો છે. પૂર્વમાં‎મોગરાવાડી ઝોનના પ્રવેશ દ્વાર રેલવે અન્ડર પાસ સુધી જતો રસ્તો બેચર‎રોડની સપાટીથી અંદાજિત 15થી 20 ફુટ નીચો છે. આ અન્ડરપાસની લંબાઇ‎પણ ફ્રેઇટકોરિડોરના કારણે વધી ગઇ છે.જેની ઉપરથી ટ્રેનો પસાર થાય‎છે,જેના લગભગ 10થી વધુ ટ્રેક છે.જેથી નાગરિકોની સુવિધા માટે કાયમી‎ઉકેલ ફલાય ઓવર બનાવવું અનિવાર્ય બની ગયું હોવાની માગ થઇ રહી છે.‎ 2થી વધુ વખત મુદ્દતમાં વધારો કરાયોમોગરાવાડી રેલવે અન્ડર પાસનો પ્રિકાસ્ટના કામ માટે 31 ડિસેમ્બર 2025 બંધ રાખવાની અગાઉ જાહેરાત હતી,પણ તારીખ વિતી ગઇને 8 દિવસ થઇ ગયા છતાં અન્ડર પાસ ચાલૂ નહિ થવાના કારણે 50 દિવસથી 22 હજાર લોકોને ભારે પિડા ભોગવવી પડી રહી છે. ગુરૂવારે રેલવેના સુપરવાઇઝર સાથે વાતચીત કરતા બે અન્ડર પાસ હવે 10,11 જાન્યુઆરીએ ચાલૂ થશે.

દિવ્ય ભાસ્કર 9 Jan 2026 4:00 am