પોરબંદર શહેરમાં સોશિયલ મીડિયા પર અશ્લીલ અને અપશબ્દોથી ભરેલું ગીત અપલોડ કરનાર એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ વ્યક્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હતો. આ વીડિયોને કારણે શહેરમાં સામાજિક ગરિમાને ઠેસ પહોંચી હોવાના આક્ષેપો થયા હતા. મામલો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની સમજાવટ બાદ આરોપીએ પોરબંદરવાસીઓની માફી માંગી હતી અને વિવાદાસ્પદ વીડિયો તાત્કાલિક ડિલીટ કરી દીધો હતો. આ વ્યક્તિ વ્યવસાયે સિંગર હોવાનું જાણવા મળ્યું છે અને તે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરતો રહે છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ આવા જ એક અન્ય વ્યક્તિએ અપશબ્દો અને કાયદાની અવગણના દર્શાવતો વીડિયો વાયરલ કર્યો હતો, જેના પર પણ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સમાજમાં નકારાત્મક અસર પેદા કરતા અશ્લીલ, અપમાનજનક અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, અફવાઓ, અશ્લીલ વીડિયો, ધાર્મિક કે જાતિવાદી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ તેમજ કોઈની ખાનગી માહિતી જાહેર કરતી સામગ્રી શેર કરવાનું ટાળે. પોલીસે નાગરિકોને સકારાત્મક, જાગૃતિ લાવતું અને સમાજ માટે ઉપયોગી કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો છે.
મોરબીમાં યુવાન સાથે 1.19 કરોડની છેતરપિંડી:બંધ કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહીને વિશ્વાસઘાત
મોરબીમાં એક યુવાન સાથે રૂ. 1.19 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. બંધ પડેલી કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહીને આ વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. રવાપર ગામના જયેન્દ્રભાઈ અમૃતલાલ દલસાણીયા (ઉં.વ. 43)એ યેશા ટાઈલ્સ પ્રા.લી.ના ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી રાજેન્દ્રકુમારની યેશા ટાઈલ્સ પ્રા.લી. કંપની બંધ પડી હતી અને તેને ફરી શરૂ કરવા માટે નાણાંની જરૂર હતી. આરોપીએ ફરિયાદી જયેન્દ્રભાઈને કંપનીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી. આ વિશ્વાસના આધારે જયેન્દ્રભાઈએ અલગ-અલગ તારીખે કંપનીના ખાતામાં રૂ. 18.50 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત, આરોપીના કહેવાથી દીપકભાઈ આહીરને રૂ. 15 લાખ રોકડા આપ્યા હતા, આમ કુલ રૂ. 33.50 લાખનું રોકાણ કર્યું હતું. જોકે, કંપની ચાલુ ન થતાં અને બંધ જ રહેતા, જયેન્દ્રભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. ત્યારે આરોપીએ કંપનીવાળી જગ્યાએ પ્લોટ પાડીને તેમાંથી પ્લોટ આપવાની વાત કરી હતી. આ માટે જયેન્દ્રભાઈએ અગાઉ આપેલા રૂ. 33.50 લાખ ઉપરાંત પોતાના સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લઈને રૂ. 86,05,708 રોકડા આપ્યા હતા. આમ, કુલ રૂ. 1,19,55,708 આરોપીએ પડાવી લીધા હતા. આરોપીએ જયેન્દ્રભાઈને પ્લોટનો સોદાખત કરી આપ્યો હતો, પરંતુ તે પ્લોટ અન્ય વ્યક્તિઓને વેચી દીધા હતા અને જયેન્દ્રભાઈને દસ્તાવેજ કરી આપ્યા નહોતા અને પૈસા પણ પરત કર્યા નહોતા. આ મામલે પોલીસે જયેન્દ્રભાઈની ફરિયાદના આધારે યેશા ટાઈલ્સ પ્રા.લી.ના ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં આર્થિક તંગી અને દેવાના ડુંગર નીચે દબાયેલી એક મહિલાએ ટૂંકા રસ્તે નાણાં કમાવવાના ચક્કરમાં જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. સીલાઇ કામ કરી ગુજરાન ચલાવતી મહિલા ઓડિશાથી ગાંજો લાવી સુરતની ઝૂંપડપટ્ટીઓમાં વેચે તે પહેલાં જ ચોકબજાર પોલીસે તેને રૂ. 4.25 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. ચોકબજાર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં 31 વર્ષીય ઇજરાઈના કાસમ નુરમોહમદ સંધવાની નામની મહિલાને નશાના કાળા કારોબાર સાથે ઝડપી પાડવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા પાસેથી કુલ 8.432 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે 4.25 લાખ રૂપિયા થાય છે. પતિનું અવસાન અને દીકરીની બીમારીને કારણે દેવું થયુંપોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહિલાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે: મહિલાના પતિનું થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જ્યારે દીકરી પણ બીમારીમાં સપડાયેલી છે. જેના કારણે ઘરની સંપૂર્ણ જવાબદારી તેના પર આવી પડી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા અને માથે ચઢેલું દેણું ભરપાઈ કરવા માટે તે સિલાઈ મશીન ચલાવતી હતી, પરંતુ તે આવક પૂરતી ન હોવાથી તેણે ગાંજાના વેપારનો રસ્તો પકડ્યો હતો. ઓડિશાથી સુરત વાયા ‘બુલ્લુ માલીયા’આ નેટવર્કની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મહિલા આ જથ્થો ઓડિશાના ભરમપુરથી લાવી હતી. તેને આ ગાંજો તેના પરિચિત બુલ્લુ માલીયા નામના શખ્સે પૂરો પાડ્યો હતો. આ જથ્થો સુરત લાવીને શહેરના અલગ-અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં છૂટક વેચવાનો તેનો પ્લાન હતો. ચોકબજાર પોલીસે મહિલા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ અગાઉ તેણે કેટલીવાર આ રીતે ગાંજાની હેરાફેરી કરી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે. પોલીસે મહિલાની હીલચાલ પર નજર રાખી હતીડીસીપી રાઘવ જૈને જણાવ્યું હતું કે, સુરત પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સતત વોચ રાખવામાં આવી રહી છે. આ જ ઝુંબેશ હેઠળ અમને બાતમી મળી હતી કે સુરતના ફુલવાડી વિસ્તારમાં રહેતી એક મહિલા શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તે NDPS ના વેચાણ સાથે સંકળાયેલી છે. અમારી ટીમે આ મહિલા પર નજર રાખવાનું શરૂ કર્યું અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેનું નામ ઇજરાયના (કાસમ નૂર મોહમ્મદની પત્ની) છે. ઓડિશાની મુલાકાત લીધીને શંકા પ્રબળ બનીતાજેતરમાં તેણે રેલવે માર્ગે ઓડિશાની મુલાકાત લીધી હતી, જેનાથી અમારી શંકા વધુ પ્રબળ બની હતી. ત્યારબાદ, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં તેના રહેણાંક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે 8 કિલો 432 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની બજાર કિંમત આશરે 4,10,000 જેટલી થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે થોડા મહિના પહેલા તેના પતિનું અવસાન થયું હતું. તેના પતિના સંપર્કો ઓડિશામાં હતા, જેનો ઉપયોગ કરીને તે ત્યાં ગઈ હતી અને આ નશીલો પદાર્થ લાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ બુલ્લુ માલિયા (જેની પાસેથી ગાંજો મેળવ્યો હતો) ની પણ પોલીસ શોધખોળ કરી રહી છે અને ટૂંક સમયમાં તેને પણ ઝડપી લેવામાં આવશે. આ કેસમાં NDPS એક્ટની કલમ 8(c), 20(b) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓની પદ્ધતિ એવી હોય છે કે તેઓ જથ્થાબંધ વેચાણને બદલે સ્થાનિક વિસ્તારો જેમ કે ઝૂંપડપટ્ટી કે સ્લમ એરિયામાં નાની-નાની માત્રામાં ગાંજો વેચે છે, જેથી કોઈને શંકા ન જાય અને વધુ પૈસા કમાઈ શકાય.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. ગેસની અછતને લીધે 600થી વધુ કારખાના બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સમયનો સદુપયોગ કરીને ઉદ્યોગકારોએ મશીનરીના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દીધી છે. યુદ્ધના કારણે પ્રોપેન ગેસની ઉપલબ્ધતા બંધ થઈ ગઈ છે, જ્યારે નેચરલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો નથી. જે કારખાનાઓએ તેમના ગેસના ક્વોટાનો ઉપયોગ કરી લીધો છે, ત્યાં ગેસના વાલ્વ બંધ કરવામાં આવી રહ્યા છે. બાકીના કારખાનાઓમાં પણ ક્વોટા પૂરો થતાં વાલ્વ બંધ કરી દેવાશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગઈકાલે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉદ્યોગકારોએ સર્વસંમતિથી એક મહિના માટે તેમના કારખાના બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે, મોરબીના સિરામિક કારખાનાઓમાં 24 કલાક ટાઇલ્સ ઉત્પાદનનું કાર્ય ચાલુ રહે છે. ગેસના અભાવે કારખાના બંધ થતાં, ઉદ્યોગકારોએ આ સમયનો સદુપયોગ કરીને કિલન સહિતની મશીનરીના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દીધી છે. સિરામિક ઉત્પાદનમાં ભઠ્ઠીનું સમયાંતરે મેન્ટેનન્સ કરવું અનિવાર્ય હોય છે.સિરામિક કારખાનાઓમાં ટાઇલ્સ બનાવવા માટે 24 કલાક 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ગેસ ભઠ્ઠી કાર્યરત રહે છે. ભઠ્ઠીને બંધ કરવા માટે તેનું તાપમાન ધીમે ધીમે ઘટાડવામાં આવે છે, જેમાં આશરે બે દિવસ લાગે છે. તેવી જ રીતે, ભઠ્ઠી ફરીથી ચાલુ કરીને 1200 ડિગ્રી તાપમાન સુધી પહોંચાડવામાં પણ બે દિવસનો સમય લાગે છે, કારણ કે આનાથી ઓછા તાપમાને ટાઇલ્સનું ઉત્પાદન શક્ય નથી.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે સ્થાનિક બજારો પર વર્તાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ભાવમાં થયેલા ઉછાળાને કારણે ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વિતરણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ સ્થિતિને કારણે વલસાડ સહિત રાજ્યભરના હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનાની વેકેશન સિઝન દરમિયાન હોટલ ઉદ્યોગમાં ભારે ગતિવિધિ જોવા મળે છે. જોકે, આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. ગેસની તીવ્ર અછતને કારણે અનેક હોટલો સમયસર સેવાઓ પૂરી પાડી શકતી નથી, જ્યારે કેટલીક હોટલોને તેમની શાખાઓ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ગેસ ન મળવાને કારણે રસોડાં અડધાં બંધ જેવી સ્થિતિમાં છે, જેની સીધી અસર ટર્નઓવર પર પડી રહી છે. વલસાડના એક ફાસ્ટફૂડ સેન્ટરના સંચાલકે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સપ્લાય ખોરવાતા મેનૂમાં 50% જેટલો ઘટાડો કરવો પડ્યો છે. ગ્રાહકોને તેમની માંગ મુજબની વાનગીઓ ન મળતા ગ્રાહકોની સંખ્યા પણ ઘટી રહી છે. હોટલ ઉદ્યોગ માત્ર ગેસ પર નિર્ભર નથી, પરંતુ શાકભાજી, કરિયાણું, ડેરી ઉત્પાદનો અને ટ્રાન્સપોર્ટ જેવા અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલો છે. હોટલો બંધ થવાથી આ તમામ સંલગ્ન ક્ષેત્રોમાં માંગ ઘટી રહી છે, જેના પરિણામે સમગ્ર સ્થાનિક અર્થતંત્ર પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. એક હોટલ સાથે સરેરાશ 15થી 20 પરિવારોની રોજીરોટી જોડાયેલી હોય છે. જો ગેસ સપ્લાય લાંબા સમય સુધી ખોરવાયેલો રહેશે, તો હજારો લોકોની રોજગારી જોખમમાં મુકાઈ શકે છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો પરિસ્થિતિ ઝડપથી સુધરશે નહીં, તો બેરોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. સ્થાનિક વેપારીઓ અને હોટલ એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે કોમર્શિયલ ગેસ સપ્લાયમાં રાહત આપવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે. વેપારીઓના મતે, વેકેશન સિઝન પહેલાં જ આવી પરિસ્થિતિ સર્જાવવી એ ઉદ્યોગ માટે મોટો આંચકો છે. વેપારી વર્તુળોમાં એવી પણ ભીતિ છે કે જો આંતરરાષ્ટ્રીય યુદ્ધ લાંબુ ચાલશે, તો ગેસ અને ઈંધણના ભાવમાં વધુ વધારો થશે, જેના કારણે મોંઘવારી સામાન્ય જનતાની કમર તોડી શકે છે. હાલ માટે વલસાડનો હોટલ ઉદ્યોગ ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે, પરંતુ જો ગેસ સપ્લાય ટૂંક સમયમાં સ્થિર નહીં થાય, તો આ સંકટ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના ગરેડિયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી લવ મનીષભાઈ મકવાણાએ શિક્ષણ ક્ષેત્રે બેવડી સફળતા મેળવી છે. તેણે ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત CET (Common Entrance Test) પરીક્ષામાં રાજ્યમાં 9મો અને 10મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત, લવ મકવાણાએ જવાહર નવોદય વિદ્યાલય (JNV) પ્રવેશ પરીક્ષામાં પણ મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવીને 'બેવડી સફળતા' હાંસલ કરી છે. ધ્રોલ તાલુકાના એક નાના ગામડાની સરકારી શાળા માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ સફળતા પાછળ કોઈ મોટા શહેરના ખાનગી ટ્યુશન ક્લાસિસનો નહીં, પરંતુ શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ મુંગરાનો અથાક પરિશ્રમ અને માર્ગદર્શન મુખ્ય કારણભૂત છે. નિલેશભાઈએ દિવાળી વેકેશન અને રવિવારની રજાઓ દરમિયાન પણ લવને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષક નિલેશભાઈએ લવને લગભગ 100 જેટલા પ્રેક્ટિસ પેપર સોલ્વ કરાવીને પરીક્ષા માટે સજ્જ કર્યો હતો. શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફના સતત પ્રોત્સાહને આ અશક્ય કાર્યને શક્ય બનાવવામાં મદદ કરી. શાળા પરિવારે જણાવ્યું કે, ગામડાની સરકારી શાળાના બાળકોમાં અપાર શક્તિ છે, બસ તેને સાચી દિશા આપવાની જરૂર છે. લવની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન બનશે. આ સમાચાર મળતા જ સમગ્ર ધ્રોલ પંથકમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ગ્રામજનો દ્વારા લવ અને તેના શિક્ષકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. એક નાનકડા ગામના દીકરાએ રાજ્ય સ્તરે અને નવોદય મેરીટમાં નામ રોશન કરતા સરકારી શિક્ષણ પ્રણાલી પર લોકોનો ભરોસો વધુ મજબૂત થયો છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સમર્પણ ડેવલોપર્સ દ્વારા સમર્પણ ફ્લેટની સ્કીમ લોન્ચ કરાઈ હતી. દિયર અને ભાભીએ ફ્લેટ બુક કરાવ્યા હતા, પરંતુ ઠગ બિલ્ડર જતીન પંચોલીએ બંનેના ફ્લેટ વધુ કિંમતે અન્ય વ્યક્તિને વેચાણ આપી બાનાખત કરી આપ્યું હતું. જેથી બિલ્ડર પાસે રૂપિયા 15.20 લાખની માંગણી કરવા છતાં આપતો ન હોવાથી તેના વિરુદ્ધ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. માંજલપુર વિસ્તારમાં ફ્લેટ બુકિંગના નામે છેતરપીંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સંદીપ સોમાભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સમર્પણ ડેવલોપર્સના પ્રોપરાઇટર જતીનભાઈ શાંતિલાલ પંચોલીએ તેમની સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાની છેતરપીંડી આચરી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં સમર્પણ ડેવલોપર્સના પ્રોપરાઈટર જતીન શાંતિલાલ પંચોલી (રહે. સેવાતીર્થ બંગલો દાદા ભગવાનના મંદિર, વરણામા) દ્વારા સમર્પણ ફ્લેટની સ્કીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ નર્મદા જિલ્લાના અને હાલમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે શિવમ ફ્લેટમાં રહેતા સંદીપભાઈ પટેલ વર્ષ 2021 દરમિયાન સમર્પણ ફ્લેટ સ્કીમમાં ફ્લેટ ખરીદવા માટે ડેવલોપર સાથે રૂ. 8.50 લાખમાં સોદો કર્યો હતો. જેમાંથી તેમણે રૂ.5 લાખ એડવાન્સ તરીકે આરટીજીએસ દ્વારા ચૂકવ્યા હતા અને બાકી રકમ પછી ચૂકવવાની શરત રાખવામાં આવી હતી. આ અંગે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બાનાખત પણ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તેમની તબિયત ખરાબ થતાં તેઓ લાંબા સમય સુધી સારવાર હેઠળ રહ્યા હતા. આ દરમિયાન ડેવલોપરે તેમની મંજૂરી વિના બાનાખત રદ કરીને તેજ ફ્લેટ અન્ય વ્યક્તિને વધુ કિંમતે વેચી દીધો હતો. બિલ્ડર જતીન પંચોલીએ માત્ર સંદીપભાઈના નાના ભાઈની પત્ની ભાવિશાબેન પાસેથી પણ ફ્લેટ બુકિંગના નામે આશરે રૂ.14.45 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. પરંતુ ઠગ બિલ્ડરે તેમનું પણ બાનાખત રદ કરીને તે ફ્લેટ પણ અન્ય લોકોને વેચી માર્યો હતો. ઠગ બિલ્ડર ભાભી અને દિયરને ફ્લેટ વેચાણ આપવાના બહાને તેમની પાસેથી લગભગ રૂ. 15.20 લાખની રકમ લીધી હોવા છતાં અન્ય વ્યક્તિને મકાનનું બાનાખત કરી આપી વેચી નાખી તેમની સાથે છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ મકરપુરા પોલીસ મથકમાં નોંધાવી છે.
જે પરિવારના સભ્યો ભેગા મળી હસે છે, નક્કી એ ઘરમાં શ્રીકૃષ્ણ વસે છે... મર્મસ્પર્શી અને ધમાકેદાર સંવાદ સાથે સેંકડો સુપરહિટ અને હાઉસફુલ શૉ આપ્યા બાદ, કૃષ્ણ ભક્તિ આધારિત નાટક આઈ લવ યુ ક્રિષ્ણા ટૂંક સમયમાં ફિલ્મમાંમાં રૃપાંતરિત થઈ રહ્યું છે. ટૂંક સમયમાં વડોદરા અને વ્રજભૂમિના નયનરમ્ય લોકેશન પર શૂટિંગ થનાર છે. વૈષ્ણવાચાર્ય અને ફિલ્મના એક્ટર પંકજકુમારજી મહારાજે જણાવ્યું હતું કે, 'આઈ લવ યુ કૃષ્ણા' એ સંપૂર્ણપણે કૃષ્ણ ભક્તિ પર આધારિત ફિલ્મ છે. ભગવાન કૃષ્ણ માત્ર મંદિર, હવેલી કે દેવાલયોમાં જ નથી; તે અત્ર, તત્ર, સર્વત્ર છે. તેઓ દરેક મનુષ્યના શ્વાસમાં, કણ-કણમાં અને હૃદયમાં વસેલા છે. આ ફિલ્મમાં આ જ અતૂટ ભક્તિભાવને વણી લેવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે આખું વિશ્વ જ્યારે લડાઈઓ લડી રહ્યું છે, ત્યારે ભારત ભક્તિથી તરબતર છે. કળિયુગમાં જો ખરેખર કોઈ તારણહાર હોય તો તે ભગવાન કૃષ્ણ છે. શ્રીકૃષ્ણ જ મારી એકમાત્ર ગતિ છે. આજની યુવા પેઢી ભલે આધુનિકતા તરફ વળી રહી હોય, પણ તે સાથે પોતાની આધ્યાત્મિકતા અને સંસ્કારો ન ભૂલે તે માટે સનાતન હિંદુ વૈદિક ધર્મ પર આધારિત આ એક પારિવારિક અને સામાજિક ફિલ્મ અમે બનાવી છે, જેમાં મનોરંજનની સાથે સુંદર બોધ પણ છે. તેઓએ કહ્યું કે, મારું પાત્ર એક કૃષ્ણ ભક્ત અને વ્રજવાસીનું છે. હું મથુરાના એક વ્રજવાસી 'જમના'નું પાત્ર ભજવી રહ્યો છું, જે મારા માટે સૌભાગ્યની વાત છે. આ ફિલ્મમાં મારી સાથે સહ-નિર્માતા તરીકે જ્યોતિબેન શાહ, હીના જાદવ અને પંથેશ શાહ જોડાયેલા છે. અમારી આખી ટીમ, કલાકારો અને કસબીઓએ સેતુબંધમાં ખિસકોલી જેવો નાનકડો ફાળો આપીને આ ફિલ્મને ભક્તિપૂર્વક તૈયાર કરી છે. થોડા સમય પહેલા 'લાલો' જેવી ફિલ્મો પણ આવી હતી. તો શું આ ફિલ્મ પણ એવી જ કંઈક છે? તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે, ના, અમે કોઈ ફિલ્મની સ્પર્ધા કે રેસમાં નથી, પણ ભક્તિના માર્ગે ચાલીને લોકોને સાચો સંદેશ આપવાનો છે. અંતે તો સમાજમાં દેવ અને દાનવ બંને તત્વો હોય છે, આપણે નક્કી કરવાનું છે કે આપણે કોના માર્ગે ચાલવું છે. ગુજરાતી ફિલ્મ એક્ટર ભાવિની જાનીએ જણાવ્યું હતું કે, મને આ રોલની વધારે મજા એટલે આવશે કારણ કે, જેમ જેમ સમય જાય એમ માણસ પરિપક્વ થાય. અને જેમ માણસ મેચ્યોર થતો જાય એમ એને સમજણ આવે કે પરમાત્મા શું છે, સત્ય શું છે અને મોહ-માયા શું છે. અત્યારે હું જ્યારે જીવનના આ પડાવ પર છું અને આવો સરસ રોલ મળે, ત્યારે એવું કહી શકાય કે 'બારે મેઘ ખાંગા થઈને વરસે' એવો આનંદ મને અત્યારે આવી રહ્યો છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મૂવીમાં કામ કરવાનું એક મુખ્ય કારણ એ છે કે, આ ભક્તિથી ઓતપ્રોત થવાની એક ઘટના છે. છેલ્લા કેટલાક વર્ષોથી હું એકલી રહું છું, તો મારો પરમાત્મા સાથેનો નાતો અને તાદાત્મ્ય એવું છે કે મને ક્યારેય એવું લાગ્યું જ નથી કે હું ઘરમાં એકલી છું. હું જે રીતે ભગવાન સાથે વાત કરું છું, એ જ પ્રકારના સંવાદો મારે અહીં કરવાના છે. એટલે મને આ ફિલ્મ સાથે ખૂબ જ આપ્તજન જેવો અહેસાસ થઈ રહ્યો છે અને કામ કરવાની ખૂબ મજા આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, પંકજકુમારજી સાથે ઘણા વર્ષોથી કાર્યરત એવોર્ડ વિજેતા લેખક દિગ્દર્શક મનોજ નથવાણી ફિલ્મના લેખક દિગ્દર્શક છે. જાણીતા અને અનુભવી સિનેમેટિગ્રાફર વિપુલ પટેલ કેમેરા સાથે સાથે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન પણ કરી રહ્યા છે. ઈરફાન પીરઝાદા અને જ્હોની માસ્ટરજી ફિલ્મના એકશન ડિરેક્ટર છે. સંગીતની ઊંડાણપૂર્વક સમજ ધરાવનાર પ્રતિભાશાળી પિયુષ કહાર ફિલ્મનું પાશ્વ સંગીત આપવા સાથે ફિલ્મના ગીતો માટે પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. વડોદરાના પ્રતિભાશાળી કલાકારો પણ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ દેશ વિદેશમાં રજુ થનાર છે.
સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ એવો મેટ્રો પ્રોજેક્ટ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. 12000 કરોડના ખર્ચે સાકાર થઇ રહેલ સુરતના ડ્રીમ પ્રોજેક્ટ એવી મેટ્રો રેલનું કામ હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે. મજુરા ગેટથી ડ્રીમ સિટી વચ્ચેનો મેટ્રોનો એલિવેટેડ રૂટ તૈયાર છે અને ટ્રેક બિછાવવાનું કામ પણ પુર્ણતાના આરે છે. મળતી વિગત અનુસાર, એવા આયોજનો કરવામાં આવી રહ્યા છે કે સુરત મનપાની ચૂંટણી પહેલા એટલે કે એપ્રિલના અંતમાં કે મે માસના પ્રથમ વીકમાં અલથાણથી ડ્રીમ સિટીનો મેટ્રોનો ટ્રાયલ રન પણ લેવામાં આવશે. આ ટ્રાયલ રન માટે મેટ્રો ટ્રેનનો એન્જિન સાથેનો ત્રણ કોચનો પહેલો સેટ એટલે કે ટ્રેન સુરત આવી પહોંચી છે. આ તમામ કોચને ખજોદની ડ્રીમ સિટીના મેટ્રોના ડેપો ખાતે મુકવામાં આવ્યા હતાં. મજુરાગેટ અને ડ્રીમસિટી સુધીનો મેટ્રોનો એલિવેટેડ રૂટ તૈયાર સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું 2021માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે વર્ષ 2025 સુધીમાં સુરતમાં મેટ્રો દોડતી થશે તેવો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ મેટ્રો રેલ કોર્પોરેશન પ્રોજેક્ટને સમયસર આગળ વધારી શક્યું નહોતું. જોકે, હવે છેક કાદરશાની નહળવા નાળથી શરૂ કરીને મજુરાગેટ અને ત્યાંથી ડ્રીમસિટી સુધીનો મેટ્રોનો એલિવેટેડ રૂટ તૈયાર થઈ ગયો છે. હાલમાં કાદરશાની નાળ અને મજૂરાગેટના સ્ટેશનના કામો અધુરા છે. અલથાણથી ડ્રીમ સિટીનો મેટ્રોનો ટ્રાયલ રન એપ્રિલમાં થઈ શકેઅલથાણ અને ડ્રીમ સિટીના સ્ટેશન મોટાભાગે તૈયાર થઈ ગયા છે. જેને પગલે હવે એપ્રિલ માસના અંતમાં કે મે માસના પ્રથમ સપ્તાહમાં અલથાણથી ડ્રીમ સિટીનો મેટ્રોનો ટ્રાયલ રન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને માટે આ એન્જિન સાથેના ત્રણ કોચ સુરત આવી પહોંચ્યા છે. જેને ડ્રીમ સિટીના મેટ્રોના ડેપોમાં મુકવામાં આવ્યા હતા. સુરત માટે 24 મેટ્રો ટ્રેન સેટ ફાળવાયાતાજેતરમાં રાજય સરકારે સુરત માટે 24 મેટ્રો ટ્રેન સેટ ફાળવવાની જાહેરાત કર્યા બાદ પહેલી મેટ્રો ટ્રેનના સેટ સાથે પશ્ચિમ બંગાળ સ્થિત મેટ્રો ટ્રેન બનાવનાર કંપનીના એન્જિનિયરો પણ આવી પહોંચ્યા છે. આ અધિકારીઓ તેમજ મેટ્રોના એન્જિનિયરોની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ બાદ પહેલી મેટ્રો ટ્રેનનું એસેમ્બલિંગ કરવામાં આવશે. સડકમાર્ગે આવેલા ત્રણેય કોચને સાવધાનીપૂર્વક ઉતારીને જોડવામાં આવ્યા મેટ્રો રેલના સુત્રોના જણાવ્યા મુજબ, સુરત મેટ્રોના ફેઝ-1 એટલે કે સરથાણાથી ડ્રીમ સિટી માટે કુલ 72 કોચનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્રણ કોચની એક ટ્રેન એમ કુલ 24 ટ્રેન રોટ બનશે. હવે પછી તબક્કાવાર આઠ માસમાં બાકીના ટ્રેન સેટ સુરત પહોંચી જવાની શક્યતા છે. સુરત મેટ્રો માટેના મેટ્રો રેલના કોચ વેસ્ટ બંગાળના હુગલી જિલ્લા સ્થિત ઉતરપારા પ્લાન્ટ સ્થિત 'ટીટાગઢ રેલ સિસ્ટમ્સ' નામની કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. ત્યાંથી હેવી ટ્રેલર મારફતે સડકમાર્ગે આજે સુરત આવેલા ત્રણેય કોચને સાવધાનીપૂર્વક એક પછી એક ઉતારીને જોડવામાં આવ્યા છે. જો કે મેટ્રોના તંત્ર દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ટ્રેન સેટને ઉચા બેરિકેડ વચ્ચે કવર ઢાંકીને રખાયા છે. ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે સુરત મેટ્રો ટ્રેનની વિશેષતાએ છે કે, દરેક ટ્રેન 3 કોચની બનેલી હશે. ટેકનોલોજી એવી છે કે આ ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે અને તેની ગતિ પ્રતિ કલાક 80 કિ.મી.ની હશે. તમામ ટ્રેનો સીસીટીવી કેમેરા, ફાયર ડિટેક્શન સિસ્ટમ અને રિયલ-ટાઇમ મોનિટરિંગ ટેકનોલોજીથી સજ્જ હશે. સુરત મેટ્રો રેલના કોચ ગુજરાત અને સુરતની સંસ્કૃતિ અને સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને ધ્યાને રાખીને ઇન્ટિરિયર કરવામાં આવનાર છે. ડાયમંડ શેપ, ગરબા, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ વગેરેની થીમ સાંકળી લેવાય તેવું આયોજન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. મનપાની ચૂંટણી પહેલા મેટ્રોનો ટ્રાયલ રનસુરતમાં મેટ્રોનો ટ્રાયલ રન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અથવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવે તેવી સંભાવના છે. ભાજપ દ્વારા મેટ્રોનો ટ્રાયલ રન કરીને મનપાની ચૂંટણી પહેલા રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે હોળીના તહેવાર પછીના પખવાડિયામાં ચિત્રવિચિત્રનો લોકમેળો ભરાય છે. આ વર્ષે આ મેળો 17 માર્ચથી શરૂ થઈને 18 માર્ચ, અમાસના રોજ સંપન્ન થયો હતો. આ મેળામાં ગુજરાતના આદિવાસી વિસ્તારો ઉપરાંત રાજસ્થાનના આદિવાસીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લે છે. આ મેળાનું નામ મહાભારત કાળના રાજા શાંતનુના બે પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય પરથી પડ્યું છે. લોકવાયકા મુજબ, તેમણે અહીં સાબરમતી, આકળ અને વ્યાકળ નદીઓના ત્રિવેણી સંગમ પર પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું. આ પવિત્ર સ્થળે આજે પણ લોકો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂર્વજોનું તર્પણ કરવા આવે છે. મેળાની શરૂઆત ગંભીર અને ભાવુક વાતાવરણમાં થાય છે. આદિવાસી સમુદાયના લોકો, જેમના સ્વજનોનું વીતેલા વર્ષમાં અવસાન થયું હોય, તેમના અસ્થિઓનું આ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરે છે. નદી કિનારે બેસીને પૂર્વજોને યાદ કરી રડવાની પરંપરા, જેને 'મરસિયા' કહેવાય છે, તે આ મેળાને અન્ય મેળાઓથી અલગ પાડે છે. પૂર્વજોને અંજલિ આપ્યા બાદ, આ મેળો રંગબેરંગી ઉત્સવમાં પરિવર્તિત થઈ જાય છે. આદિવાસી પુરુષો અને મહિલાઓ તેમના પરંપરાગત ઘરેણાં અને પોશાકમાં સજ્જ થઈને આવે છે. ઢોલ, શરણાઈ અને વાંસળીના સૂર પર ઝૂમતા યુવાનો મેળાની રોનક વધારે છે. અહીં માટીના વાસણોથી લઈને આધુનિક ચીજવસ્તુઓના સ્ટોલ્સ પણ જોવા મળે છે.
કાલુપુર રેવડી બજાર માર્કેટમાં ભીષણ આગ:ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે, અફરાતફરીનો માહોલ
અમદાવાદના કાલુપુર રેવડી બજાર માર્કેટમાં ભીષણ આગ લાગી છે. કોલ મળતાં જ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો:4 વોર્ડના નાગરિકોને સ્થળ પર જ સેવાઓનો લાભ મળ્યો
ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ 18 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેરના વોર્ડ નં. 1, 2, 9 અને 10ના વિસ્તારો માટે છીપવાડા શાળામાં “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યે શરૂ થયો હતો. તેના શુભારંભ સમયે પાલિકાના નવા વહીવટદાર અને પ્રાંત અધિકારી મનીષા મનાણી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સિટી મામલતદાર નિકુંજ સાવલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમ સાંજના 5 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન આવક, જાતિ, ક્રિમિલેયર અને ડોમિસાઈલ દાખલા, રેશનકાર્ડ સંબંધિત અરજીઓ, આધાર કાર્ડ સહિતની વિવિધ મહત્વપૂર્ણ સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), સમાજ કલ્યાણ વિભાગની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિજાતિ તેમજ અન્ય પછાત વર્ગોની યોજનાઓનો લાભ પણ નાગરિકોને અપાયો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓ, વરિષ્ઠ નાગરિકતા અને દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશિપ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આમ, સેવા સેતુ કાર્યક્રમ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં અસરકારક સાબિત થયો હતો.
દેવગઢ બારીયામાં 9 રેતીના ડમ્પર ઝડપાયા:₹2.10 કરોડનો મુદ્દામાલ સીઝ, ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ફાંગીયા-સાગટાળા રોડ પરથી ખાણ ખનિજ વિભાગે આજે વહેલી સવારે ગેરકાયદેસર રેતીનું વહન કરતા 9 ઓવરલોડ ડમ્પરોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે ₹2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ખાણ ખનિજ વિભાગની ટીમે બિનઅધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતા આ ડમ્પરોને રંગેહાથ પકડ્યા હતા. આ ઘટનાથી પંથકમાં રેતી ચોરી કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગને દેવગઢ બારીયા પંથકમાંથી મોટા પાયે સાદી રેતીનું બિનઅધિકૃત અને ક્ષમતા કરતા વધુ વહન થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિભાગની સ્પેશિયલ ટીમે ફાંગીયા-સાગટાળા રોડ પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, કુલ 9 ડમ્પર વાહનોમાં કોઈપણ કાયદેસરની પરમિટ વગર અથવા ઓવરલોડ રેતી ભરેલી હોવાનું જણાઈ આવ્યું. ખાણ ખનિજ વિભાગે તાત્કાલિક ધોરણે તમામ 9 ડમ્પરોને સીઝ કર્યા. જપ્ત કરાયેલા વાહનો અને રેતીના જથ્થાની બજાર કિંમત આશરે ₹2.10 કરોડ અંદાજવામાં આવી છે. હાલમાં તમામ વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડી, વાહન માલિકો વિરુદ્ધ કાયદેસરની દંડકીય કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્રએ ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ માર્ગો પર આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 19 માર્ચના રોજ પોરબંદર જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ₹356.82 કરોડના કુલ 45 વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ શહેરના તાજાવાલા હોલ ખાતે બપોરે 3:00 વાગ્યે યોજાશે. મુખ્યમંત્રીના હસ્તે ડિજિટલ માધ્યમથી 16 નવા કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેનો ખર્ચ ₹263.71 કરોડ છે. આ ઉપરાંત, ₹93.11 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 29 તૈયાર કામોનું ઇ-લોકાર્પણ પણ કરવામાં આવશે. આ વિકાસ કાર્યોમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના 15 પ્રોજેક્ટ્સ (₹237.80 કરોડ), માર્ગ અને મકાન વિભાગના 14 પ્રોજેક્ટ્સ (₹73.97 કરોડ), ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ₹20.56 કરોડના કામો, વન અને પર્યાવરણ વિભાગના સર્વોદય વન પ્રોજેક્ટ (₹20.00 કરોડ) અને શ્રમ અને રોજગાર વિભાગના ₹4.48 કરોડના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ પત્રકાર પરિષદ યોજીને આ પ્રવાસની વિગતો આપી હતી અને નાગરિકોને આ વિકાસ ઉત્સવમાં જોડાવા અપીલ કરી હતી. છેલ્લા 5 વર્ષમાં પોરબંદર જિલ્લામાં પ્રવાસન અને પાયાની સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવીયાના પ્રયાસો તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત સહયોગથી અનેક મોટા પ્રોજેક્ટ્સ સાકાર થયા છે, જેનો સીધો લાભ જિલ્લાના લોકોને મળી રહ્યો છે.
શહેરમાં અશાંતધારો અમલી હોવા છતાં પડદા પાછળ મિલકતોના સોદાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી, શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે આવેલા હરિયાળા પ્લોટ વિસ્તારમાં એક હિન્દુ માલિકીના કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેચાણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી અપાવવાના બહાને SDMના જ ડ્રાઈવરે લાખો રૂપિયાની માગણી કરી હોવાનો કિસ્સો સામે આવતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે, હરિયાળા પ્લોટ વિસ્તારમાં અતુલ મહેન્દ્રકુમાર કામદારની માલિકીની 8 દુકાનો આવેલી છે. આ મિલકત સલીમભાઈ ઇબ્રાહીમભાઈ ગનીયાણીને વેચાણ આપવા માટે અશાંતધારા મુજબ SDMની પૂર્વ મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, આ દરમિયાન SDM પ્રતિભા દહિયાના ડ્રાઈવર મોમીન દ્વારા મંજૂરી અપાવી દેવાની ખાતરી આપી 14 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ, વોટ્સઅપ ચેટ અને ઓડિયો ક્લિપમાં ડ્રાઈવર દ્વારા 10 લાખ રૂપિયા સ્વીકારવામાં આવ્યા હોવાનું અને બાકીના નાણાં માટે દબાણ કરવામાં આવતું હોવાનું સ્પષ્ટ દેખાય છે આ આખી ઘટના 'ટોક ઓફ ધ ટાઉન' બની છે, કારણ કે એક આઉટસોર્સિંગનો ડ્રાઈવર ઉચ્ચ અધિકારીના નામે આટલી મોટી રકમ ઉઘરાવવાની હિંમત કરી રહ્યો હતો, અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફર કરવા માટે પોલીસ રિપોર્ટ અને પંચનામા બાદ આખરી નિર્ણય SDMનો હોય છે મંજૂરી મેળવવામાં થતો મહિનાઓનો વિલંબ અને ફાઈલ રિજેક્ટ થવાની બીકનો લાભ લઈને વચેટીયાઓ સક્રિય થયા છે,આ કિસ્સામાં ખુદ સરકારી કચેરી સાથે સંકળાયેલ વ્યક્તિ જ વચેટિયો બનતા તંત્ર સામે આંગળીઓ ચીંધાઈ રહી છે આ વિવાદ વકરતા ભાવનગર SDM પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરી છે કે, આ માહિતી કાલે અમને પણ મીડિયા દ્વારા જ મળી હતી કાલે દિવસમાં મને ફોન આવ્યા હતા જ્યારે અમને ખબર પડી કે આ પ્રકારનું કંઈક ચાલી રહ્યું છે અને સાંજે એક વિડિયો મારી સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, જેના દ્વારા મને ખબર પડી કે મારો ડ્રાઈવર જે છે, મારા બે ડ્રાઈવર છે, તેમાંથી એક આ ગાડી ચલાવે છે અને બીજો બીજી ગાડી ચલાવે છે તો આ ડ્રાઈવર કોઈ થર્ડ પાર્ટી સાથે કોઈ ફાઈલ બાબતે પૈસાની માંગણી કરી રહ્યો છે, વિડિયોમાં જે ડ્રાઈવર દેખાય છે તેનું નામ મોમીન ભાઈ છે, હવે કઈ ફાઈલ અમને તો એ ફાઈલ વિશે ક્યારેય ખબર નહોતી, કાલે જે મીડિયામાં આવ્યું છે તેના પછી અમે આ બાબતે તપાસ કરાવી રહ્યા છીએ કે કયા સંદર્ભમાં વાત થઈ રહી છે તે જે પૈસાની માંગણી કરી રહ્યો હતો તે એક કરતાં વધુ ફાઈલો માટે છે કે કોઈ સિંગલ સ્ટેન્ડઅલોન ફાઈલ માટે છે, તેની માહિતી અત્યારે અમારી પાસે નથી અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ, મેં વિડિયો જોયો છે અને સાંભળ્યો છે હવે તે મારું નામ લઈ રહ્યો છે, પણ તેની સાથે મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, ડ્રાઈવર અમારો રેગ્યુલર સ્ટાફ નથી હોતો કે જેની સાથે અમે કોઈ અંગત વાત કરીએ, ડ્રાઈવર આઉટસોર્સિંગનો સ્ટાફ છે તે માત્ર ગાડી ચલાવે છે, મારે બે ડ્રાઈવર છે ક્યારેક બીજો ડ્રાઈવર ગાડી ચલાવે છે તો ક્યારેક આ ચલાવે છે. તેની સાથે મારી આજ સુધી કોઈ પણ અંગત વાત થઈ હોય કે તેમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું નથી, આ તપાસનો વિષય છે બાકી મેં એસપીને આ બાબતે પત્ર લખ્યો છે કે તેઓ આગળની કાર્યવાહી કરે, આજે મેં પોલીસની કાર્યવાહી તો પોલીસ જ કરશે ને, મેજિસ્ટ્રેટ પાસે એવી કોઈ પાવર નથી, મેં તેને તાત્કાલિક અસરથી છૂટો કરી દીધો છે, જે મારા અધિકારમાં હતું, હવે જે પોલીસની કાર્યવાહી છે, કે જે ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સર્ક્યુલેટ થઈ રહ્યા છે, વિડિયો અને ઓડિયો સર્ક્યુલેટ થઈ રહ્યા છે તે ક્યાં હતો, કોની સાથે વાત કરી રહ્યો હતો તેની તપાસ હું ન કરી શકું, એ તો પોલીસનો વિષય છે, એટલે એસપીને મેં ફરિયાદ કરી છે.
મહેસાણા જિલ્લાના લીંચ ગામે પશુપાલન કરી ગુજરાન ચલાવતા એક યુવકે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ઘર છોડી દેતા ચકચાર મચી ગઈ છે. યુવકે વ્યાજે લીધેલા નાણાં સામે મૂડી જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વધુ નાણાંની ઉઘરાણી માટે દબાણ કરવામાં આવતા આખરે કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. આ મામલે પાંચ વ્યાજખોરો સામે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તપાસમાં એક ચિઠ્ઠી મળી જેમાં પોતાની વ્યથા ઠાલવી હતીલીંચના રહેવાસી સિભાઈ બાબરભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મોટાભાઈ સાહર ઉર્ફે સાદેવભાઈ ગત 13 માર્ચના રોજ પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નહોતા. પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા વોટર પાર્ક પાસે તેમની બાઇક મળી આવી હતી. તપાસ દરમિયાન સાદેવભાઈની પત્નીને એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી. ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરાયો હતો કે, મોટપ ધિણોજ અને લીંચના પાંચ શખ્સો પાસેથી તેમણે 10 ટકા વ્યાજે 26.75 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે મૂડી જેટલું વ્યાજ ભરી દીધું હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા હતા. સોશિયલ મીડિયામાં પણ શોધખોળ માટે પોસ્ટ મૂકી હતીફરિયાદીએ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે, અમારા ભાઈ ગુમ થતા અમે સોશિયલ મીડિયામાં પણ શોધખોળ માટે પોસ્ટ મૂકી હતી. જેમાં ગઈકાલે રાધનપુરની એક ચાની હોટલ પાસે સાદેવભાઈ હોવાની જાણકારી મળતા પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને તેમને સમજાવીને પરત લાવ્યા હતા. યુવક ચાર દિવસ સુધી ક્યાં રહ્યો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે આ મામલે ધિણોજના ભરત ઈશ્વરભાઈ રબારી, મોટપના હરેશ પટેલ, સાગર રબારી, બબુભાઈ પટેલ અને લીંચના મનુ આત્મારામભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં દિવ્યાંગોને 30 મોટરાઈઝડ ટ્રાઈસિકલ અપાઈ:6 જોયસ્ટીક વ્હીલચેરનું પણ વિતરણ, સશક્તિકરણનો હેતુ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગોના સશક્તિકરણ માટે મોરબીમાં એક કાર્યક્રમ યોજાયો. આ અંતર્ગત 30 મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને 6 જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ ચાલુ નાણાકીય વર્ષ 2025-26ની નવી શરૂ કરાયેલ યોજના હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને સ્વાવલંબી અને સશક્ત બનાવવાનો છે. મોરબી જિલ્લામાં ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને આ આધુનિક સાધનો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યમાં આ કલ્યાણકારી યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ આધુનિક સાધનો મળવાથી દિવ્યાંગોની જીવનશૈલીમાં સુધારો થશે અને તેઓ સ્વતંત્ર રીતે હરી-ફરી શકશે. સમાજ સુરક્ષા પ્રભાગના આ નિર્ણયથી દિવ્યાંગોના રોજિંદા જીવનમાં પડતી શારીરિક મુશ્કેલીઓ હળવી થશે. તેઓ સમાજમાં ગૌરવભેર પુનઃસ્થાપિત થઈ શકશે. આ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દસાડામાં છકડો ખાબક્યો, 8 મહિલા ઘાયલ:પોરડા-જીવણગઢ રોડ પર પશુને બચાવવા જતાં અકસ્માત
દસાડા તાલુકાના પોરડા-જીવણગઢ રોડ પર એક છકડો રસ્તાની સાઈડમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ખેતમજૂરી કરતી આઠ મહિલાઓને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના જીવણગઢ ગામ નજીક બની હતી. ખેતીકામ કરીને પરત ફરી રહેલી મહિલાઓને લઈને જઈ રહેલા છકડા સામે અચાનક એક પશુ આવી ગયું હતું. પશુને બચાવવાના પ્રયાસમાં છકડા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને છકડો રોડની સાઈડમાં ખાબક્યો હતો. છકડામાં કુલ 12થી વધુ મહિલાઓ સવાર હતી, જેમાંથી આઠ મહિલાઓને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક પાટડી અને વિરમગામની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અકસ્માત પાછળ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત હસ્તક) દ્વારા નવનિર્મિત રોડની સાઈડમાં યોગ્ય રીતે માટી પુરાણ ન કરવું એ પણ એક કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો દ્વારા આવા અધૂરા કામોને કારણે અકસ્માતો સર્જાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ક્રાંતિવીરોના બલિદાનને દિલથી યાદ કરવાનો દિવસ એટલે 23 માર્ચને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા સાણંદ (બકરાણા) ખાતે લોકશૈલીમાં ક્રાંતિવીરોના જીવન ચરિત્રો રજૂ કરવાના કાર્યક્રમ એવા વીરાંજલિ 2.5 ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. વીરાંજલિ સમિતિ અને GTPL દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભકિત અને શહીદોના બલિદાનોની ગાથા રજૂ કરતા આ કાર્યક્રમમાં ગુજરાત ભરના યુવાનોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વિરાંજલી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. લોકો કાર્યક્રમના પાસ મેળવવા માટે https://forms.gle/ECv8gB5T59TFtWyE9 પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. સાણંદ અને કર્ણાવતી ક્લબ ખાતે પણ આ કાર્યક્રમના પાસ મેળવી શકાશે. 23 માર્ચ, શહિદ દિનભાજપના પૂર્વ મહામંત્રી અને કાર્યકર્તા તેમજ વીરાંજલિ સમિતિના વડા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ક્રાંતિના મુગટમણી સમા ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપેલી ત્યારે શહીદોના બલિદાનને સમર્પિત આ દિવસને 'શહીદ દિન' તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. વસ્ત્રાપુરથી વિરાંજલીની શરૂઆત સાણંદ ખાતે દર વર્ષે દેશભકિતની અને શહીદોના બલિદાનની ગાથા રજૂ કરતો કાર્યક્રમ કરવામાં આવે છે. વસ્ત્રાપુર તળાવ ખાતેથી વિરાંજલીની શરૂઆત કરવામાં આવી હતી. જે ધીમે ધીમે મલ્ટી મીડિયા શો અને ડાયરા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રાંતિવીર બલિદાનની ગાથા કલાકારો રજુ કરશેઆ કાર્યક્રમમાં દર વર્ષે નવા નવા ક્રાંતિવીરોને જોડવામાં આવે છે. આ વર્ષે ભગતસિંહના બલિદાનના 20થી 25 વર્ષ પહેલા બલિદાન આપનારા રાજસ્થાનના એક પરિવારના કેસરી સિંહજી બારડ અને પ્રતાપસિંહજી બારડે બલિદાન આપ્યું હતું. આવા અનેક ક્રાંતિવીરોનું બલિદાનની ગાથા ખ્યાતનામ કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. ડ્રોન શો, મેર રાસ અને તલવાર રાસવંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વર્ષ 2026માં સાણંદ ખાતે વીરાંજલિ 2.5 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પ્રખ્યાત કલાકારો ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શોર્યગાથાને રજૂ કરશે. ત્યારે આ વર્ષે વીરાંજલિ સમિતિ અને જી.ટી.પી એલ. આયોજીત 'વીરાંજલિ 2.5'માં ડાયરાના કલાકારો ઉપરાંત મેર રાસ અને દિકરીઓનો તલવાર રાસ તેમજ શહિંદોને વંદન કરતી સાંઈરામ દવે દ્વારા લીખીત આરતી વીર જવાનો કીમાં આકાશમાં થનારો ભવ્યાતીભવ્ય ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. અંદાજે 40થી 50 હજાર લોકો આ કાર્યક્રમમાં જોડાશે. આ ખ્યાતનામ કલાકારો ગાથાને રજૂ કરશેઆ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ સહિતના કલાકારો ક્રાંતિવીરોની ગાથાને રજૂ કરશે. સમગ્ર દેશ આ કાર્યક્રમ ઘરબેઠા નિહાળી શકે તે માટે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ Viranjaliofficial Youtube ચેનલ પર કરવાનું આયોજન વીરાંજલિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. પાસ માટે રજીસ્ટ્રેશન ફરજીયાતઆજની નવી પેઢીને દેશની આઝાદીનો રોમાંચક ઈતિહાસ સાંભળવા અને જોવામાં રસ છે ત્યારે આ મંચ દ્વારા તેઓ સુધી આ ઇતિહાસ પહોંચાડવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જે લાખો યુવાનોમાં લોકપ્રિય છે. દેશ ભક્તિના આ કાર્યક્રમને નિહાળવા માટે વીરાંજલિ સમિતિ દ્વાર ગુજરાત ભરના યુવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈપણ ફી રાખવામાં આવી નથી પરંતુ પાસ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
ડોક્ટરને NDPS કેસમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ:IB પોલીસની ખોટી ઓળખ આપનારા 6 આરોપી પકડાયા
બજાણા પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે પર ડોક્ટર આશિષ શાહને NDPSના ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો IB પોલીસ કર્મચારી, પોલીસ કર્મચારી અને હોમગાર્ડની ખોટી ઓળખ આપતા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢી, ગુનામાં વપરાયેલી 2 ફોર વ્હીલ કાર (કિંમત રૂ. 10,00,000) અને 5 મોબાઇલ ફોન (કિંમત રૂ. 30,000) સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટના 11 માર્ચ, 2026ના રોજ સવારે લગભગ 7:30 વાગ્યે માલવણ-વિરમગામ હાઇવે પર ટોલબૂથ નજીક બની હતી. ધ્રાંગધ્રાના ડોક્ટર આશિષ ચંપકલાલ શાહ (ઉંમર 56) અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે કિયા સોનેટ ગાડી (GJ.13.CD.5845)માં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. તેમાંથી બે વ્યક્તિઓએ ખાખી પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો, જ્યારે એક પુરુષ અને એક મહિલા સાદા કપડામાં હતા. આરોપીઓએ વાહન ચેકિંગના બહાને ડોક્ટર શાહને ઊભા રખાવ્યા હતા અને તેમની ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળી હોવાનું જણાવ્યું હતું. તેમણે ડોક્ટરના ફોટા પાડી તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ડોક્ટર શાહે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, 13 માર્ચ, 2026ના રોજ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11211058260076/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 204, 126(2), 62, 61(2)(બી), 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરલિપ્ત રાયની સીધી સૂચના અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ એક ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. બજાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા અને મુદ્દામાલ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે, ગુનામાં વપરાયેલી કિયા સોનેટ ગાડી (GJ.13.CD.5845) ચલાવનાર નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ (રહે. હામપર, તા. ધ્રાંગધ્રા) અને કેતનકુમાર હસમુખભાઈ રાવલ (રહે. હિંમતનગર)ને બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.કે. વાઘેલા અને તેમની ટીમે તાત્કાલિક રાઉન્ડઅપ કર્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી કિયા સોનેટ ગાડી (કિંમત રૂ. 5,00,000), મારુતિ બ્રેઝા ગાડી (GJ.09.BG.2537, કિંમત રૂ. 5,00,000) અને અંગઝડતીમાંથી મળેલા 2 મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000) સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત બાકીના 4 આરોપીઓ પકડાયા છે3. વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા જાતે.દરબાર ઉ.વ.40 ધંધો.નોકરી(પોલીસ કોન્સટેબલ) રહે.127 ચિત્રકુટ સોસાયટી, મહાવીરનગર હિંમતનગર 4. આસિફશા ઇકબાલશા દીવાન જાતે-મુ.માન ઉવ-44 ધંધો- ડ્રાઇવિંગ (હોમ ગાર્ડ હિમતનગર યુનીટ) રહે-પરબડા તા-હિંમતનગર જી-સાબરકાઠા 5. હિતેષકુમાર ચંદુભાઇ પંચાલ જાતે.મીસ્ત્રી(લુહાર-સુથાર) ઉ.વ.40 ધંધો. ફોટોગ્રાફી રહે-અમદાવાદશહેર ગોતા 12307 નીલકંઠ એપાર્ટમેન્ટ આઇ.સી.બી. આઇસ લેન્ડની બાજુમાંવંદેમાતરમ ક્રોસ રોડ તા.જી.અમદાવાદ શહેર પીન.382481 મુળ રહે. ધોળકા ઇ-201 અક્ષર એપાર્ટમેન્ટ ખેડા-બગોદરા હાઇવે તા.ધોળકા જી.અમદાવાદ ગ્રામ્ય 6. કુપાબેન વા/ઓ હિતેષભાઇ ચંદુભાઇ પંચાલ જાતે.લુહાર-સુથાર ઉ.વ.37 ધંધો. મજુરીકામ રહે-અમદાવાદશહેર ગોતા 12307 નીલકંઠ એપાર્ટમેન્ટ આઇ.સી.બી. આઇસ લેન્ડની બાજુમાં વંદેમાતરમ ક્રોસ રોડ તા.જી.અમદાવાદ શહેર પીન.382481 મુળ રહે. ધોળકા ઇ-201 અક્ષર એપાર્ટમેન્ટ ખેડા-બગોદરા હાઇવે તા.ધોળકા જી.અમદાવાદ ગ્રામ્ય
2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય
India LPG Demand 2026: ભારતમાં LPGની સતત વધતી જતી માંગ વચ્ચે એક મોટો પડકાર સામે આવ્યો છે. દેશમાં એલપીજીના ઉત્પાદનમાં ગમે તેટલો વધારો કરવામાં આવે તેમ છતાં ભારતની આયાત પરની નિર્ભરતા યથાવત રહેશે તેવું જણાઈ રહ્યું છે. એક અંદાજ મુજબ, જો ઘરેલું ઉત્પાદનમાં 50% જેટલો મોટો વધારો થાય, તો પણ ભારતને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે દર મહિને આશરે 29થી 34 જેટલા એલપીજી ટેન્કર વિદેશથી મંગાવવા પડશે. સરકારના આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2027 સુધીમાં દેશમાં ગેસની માંગ દર મહિને 2.9 મિલિયન ટન સુધી પહોંચી શકે છે, જેની સામે ઉત્પાદન વધવા છતાં પણ મોટી ઘટ રહેવાની શક્યતા છે.
ધારાસભ્ય હેમંત ખવાએ રસ્તાના પ્રશ્નો ઉઠાવ્યા:સરકારે 64 રસ્તાઓના રિપેરિંગને મંજૂરી આપી
ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાના મતવિસ્તારના ખરાબ રસ્તાઓ અંગે ગૃહમાં રજૂઆત કરી હતી. સરકારે તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને 64 રસ્તાઓના રિપેરિંગ કામોને મંજૂરી આપી છે. ધારાસભ્ય ખવાએ કુલ 64 રસ્તાઓના રિપેરિંગ કામો માટે રજૂઆત કરી હતી. આ રસ્તાઓ બનવાથી ગ્રામ્ય પ્રજાને સુખાકારી મળશે અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ મળશે. મંજૂરી મળ્યા બાદ મોટાભાગના રસ્તાઓ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત, ધારાસભ્યએ જામજોધપુર-તરસાઈ, હનુમાનગઢ અને મોટી ગોપથી ધ્રાફાને જોડતા સ્ટેટ વિભાગના આશરે 35-35 કિલોમીટર લાંબા રસ્તાઓને પહોળા (widening) કરવા માટે પણ ભારપૂર્વક રજૂઆત કરી હતી. તેમણે ખાણ-ખનીજ DMF ગ્રાન્ટના સુચારુ અમલવારી માટે ભૂસ્તરશાસ્ત્રીને બદલે જિલ્લા આયોજન અધિકારીની નિમણૂક કરવાની પણ માંગ કરી હતી. તેમના મતે, આનાથી વિકાસના કામો સમયસર અને વધુ સારી રીતે થઈ શકશે.
ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમના કાંઠે બે સિંહણો દેખાઈ હતી. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ડો. કરીમ કડીવારે આ અદભૂત દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. આ ઘટનાથી ત્યાં હાજર પ્રવાસીઓ પણ રોમાંચિત થયા હતા. ડો. કરીમ કડીવાર ગીર જંગલના કમલેશ્વર ડેમ રૂટ પર ફોટોગ્રાફી કરી રહ્યા હતા, ત્યારે તેમને ડેમના કાંઠે બે સિંહણો જોવા મળી હતી. આ સિંહણોમાંથી એક સિંહણ કમલેશ્વર ડેમના પાણીમાંથી તરસ છીપાવતી સ્પષ્ટપણે દેખાઈ હતી. ડો. કડીવારે સિંહણોની આ ક્ષણને પોતાના હાઈ-રિઝોલ્યુશન કેમેરામાં કેદ કરી હતી. તેમણે આ વીડિયો દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ સાથે શેર કર્યો હતો, જેથી દિવ્ય ભાસ્કરના વાચકો પણ ગીરના આ કુદરતી નજારાનો અનુભવ કરી શકે. ગીર જંગલ તેના સિંહો અને કુદરતી સૌંદર્ય માટે દેશ-વિદેશના પ્રવાસીઓમાં લોકપ્રિય છે. જંગલમાં સિંહો સહિતના વન્યજીવોના આવા દ્રશ્યો હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. કમલેશ્વર ડેમ જેવા સ્થળોએ સિંહોનું દર્શન થવું એ પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ બની રહે છે.
દેરાળાના ચેકડેમો ભરાયા:મંત્રીને રજૂઆત બાદ આકડિયા ડેમમાંથી પાણી છોડાયું
ગઢડા તાલુકાના દેરાળા ગામમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. આકડિયા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગામના ચેકડેમો ભરાઈ ગયા છે, જેનાથી ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. લાંબા સમયથી દેરાળા ગામના ચેકડેમો અને નદીઓમાં પાણીની અછત હતી, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ગામના પૂર્વ સરપંચ ભુપતભાઈ બોરીચાએ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ તંત્ર સક્રિય બન્યું અને આખરે આકડિયા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો. આ પાણી દેરાળા ગામ સુધી પહોંચતા ચેકડેમો ફરી ભરાઈ ગયા છે. ચેકડેમો ભરાતા ખેતી માટે પાણી ઉપલબ્ધ બનશે, જે ખેડૂતો માટે આશાજનક સમાચાર છે. ગ્રામજનોએ તંત્ર અને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અપેક્ષા રાખી છે.
ખેરાલુ નજીક ઘાયલ ઊંટ મળ્યું:જીવદયા ગૃપે સારવાર આપી, વાહન ટક્કરની આશંકા
મહેસાણા જિલ્લાના ખેરાલુ નજીક મોડી રાત્રે એક ઘાયલ ઊંટ મળી આવ્યું હતું. આંબાવાડી વિસ્તારમાં રોડ કિનારે ઝાડીઓમાં બેઠેલા ઊંટના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી. શ્રીરામેશ્વર જીવદયા ગૃપના સભ્યોને જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગૃપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ઊંટને ઝાડીઓમાંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ, તેને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. શ્રીરામેશ્વર જીવદયા ગૃપના ચિરાગ ડબગર અને આકાશ રાવળના જણાવ્યા મુજબ, ઊંટને કોઈ વાહને ટક્કર મારી હોવાની શક્યતા છે. આ ઈજા લગભગ ત્રણથી ચાર દિવસ પહેલા થઈ હોવાનું અનુમાન છે. આ ઘટના બાદ ગૃપે પશુ માલિકોને પોતાના પશુઓને રખડતા ન છોડવા અપીલ કરી છે. સાથે જ, રાત્રિના સમયે વાહનચાલકોને પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અનુરોધ કરાયો છે, જેથી આવા અકસ્માતો ટાળી શકાય અને પશુધનને સુરક્ષિત રાખી શકાય.
જલદી ફૂગ્ગો ફૂટશે, સોનું-ચાંદી અને ક્રિપ્ટો મોંઘાં થઇ જશે... પ્રખ્યાત લેખકની 'ભવિષ્યવાણી'
Robert Kiyosaki Warning: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ગ્લોબલ ટેન્શન વચ્ચે 'રિચ ડેડ પુઅર ડેડ' પુસ્તકના પ્રખ્યાત લેખક રોબર્ટ કિયોસાકીએ રોકાણકારો માટે એક મોટી ચેતવણી જાહેર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ઈતિહાસનો સૌથી મોટો આર્થિક ફૂગ્ગો(Financial Bubble) હવે ફૂટવાની અણી પર છે. કિયોસાકીના મતે, ગમે ત્યારે એક નાની અમથી 'પિન' આ ફૂગ્ગોને ફોડી શકે છે અને તેના કારણે શેરબજારોમાં મોટો કડાકો આવી શકે છે. જોકે, તેમણે આ સંકટને અમીર બનવાની એક મોટી તક તરીકે પણ ગણાવી છે.
ભિલોડામાં ગેસની અછત નથી, એજન્સીના માલિકે આપ્યું નિવેદન:લોકોને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી
ભિલોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાંધણ ગેસની અછતની અફવાઓ વચ્ચે લોકો વહેલી સવારથી ગેસ બોટલ લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. નવાભવનાથ મંદિર પાસે આવેલા ગેસ એજન્સીના ડિલિવરી પોઈન્ટ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, ભિલોડાની એચ.પી. ગેસ એજન્સીના માલિક વિરભદ્રસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે ગેસની કોઈ અછત નથી. તેમણે ગ્રાહકોને અપીલ કરી છે કે સમયસર ગેસની બોટલો મળી રહેશે અને ગભરાવાની જરૂર નથી. ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા સહિતના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાચારોને કારણે ગેસની અછત સર્જાશે તેવા ભયથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અફવાઓના કારણે જ લોકો ગેસ મેળવવા માટે ઉતાવળ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગેસ ધારકો માટે બુકિંગના નિયમોમાં ફેરફાર થયો છે. હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી બુકિંગ કર્યા બાદ OTP આવેથી જ ગ્રાહકને ગેસ બોટલ મળી રહે છે. આ પ્રક્રિયાને કારણે પણ કેટલાક ગ્રાહકોને નવી સિસ્ટમ સમજવામાં સમય લાગી રહ્યો છે.
વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 13માંથી ચાર ઝોન માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં શાંતિમય માહોલમાં મતદાન પ્રક્રિયા થઈ રહી છે. ડેસર બેઠક ઉપર સૌની નજરબરોડા ડેરીની ચૂંટણી માટે ડેસર બેઠક ઉપર સૌની નજર છે કારણ કે આ બેઠક ઉપર ભાજપના મેન્ડેડ પરથી સૂરપાલસિંહ પરમાર કે જેઓ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ઉમેદવાર ગણવામાં આવે છે. તેઓ સામે કુલદીપસિંહ રાઉલજી કે જેઓ ભાજપમાં હોવા છતાં ભાજપના જ ઉમેદવાર સામે લડી રહ્યા છે. ચૂંટણી પહેલા આ બેઠક માટે રાજકારણ ગરમાયું હતું. અને આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ જોવા મળી હતી. આ બેઠક ઉપર ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પ્રેશર પોલિટિક્સનો પણ આક્ષેપ કુલદીપસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફબરોડા ડેરીના 13 ઝોનમાંથી ઝોન 3, 6, 8 અને 12માં ચૂંટણી યોજાશે. જ્યારે 1, 2, 4, 5, 7, 9, 10, 11 અને 13 નંબરના ઝોનના 9 ઉમેદવાર બિનહરીફ થયા છે. બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ-દીનુમામા અને ઉપપ્રમુખ જી. બી. સોલંકી બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. સહકારી વિભાગે શો કોઝ નોટિસ આપી હતીજો કે બિનહરીફ થયા બાદ તેઓને સહકારી વિભાગ દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. અને તેની સુનાવણી આગામી 23 માર્ચના રોજ થશે. ત્યારે દિનુમામાએ જણાવ્યું હતું કે, હું 2012થી ચૂંટાતો આવ્યો છું. હું ડિરેક્ટર તરીકે બિનહરીફ થયો જ છું. પ્રમુખ બનું કે ન બનું પરંતુ પશુપાલકો માટે હંમેશા કામ કરતો રહીશ. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વોટ આપ્યોડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ બરોડા ડેરીના મતદાર છે, જેથી ડભોઇ બેઠક ઉપર તેઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ડભોઇ બેઠક ઉપર આ વખતે પુનરાવર્તન નક્કી છે. આગામી સમયમાં બરોડા ડેરીના પશુપાલકો માટે સારો ભાવ માટે તે માટે કામ કરશે. 1400 કરોડનો વહીવટ જુનજોગીઓના હાથમાં જશે?બરોડા ડેરીનો 1400 કરોડનો વહીવટ પોતાના હસ્તક રાખવામાં આમ તો જુના જોગીઓને સફળતા મળી જ ગઈ છે કારણ કે 9 જૂના ડિરેક્ટર બિનહરીફ જાહેર થઈ ગયા છે. ચાર ઝોન માટેની ચૂંટણીના પરિણામો બાદ તેમાં પુનરાવર્તન થાય છે કે પરિવર્તન આવે છે તે ખ્યાલ આવશે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઉમરાયા ગામે ચૂંટણીની જૂની અદાવતને લઈને ગંભીર હિંસાની ઘટના સામે આવી છે. ગામના વર્તમાન સરપંચ અર્જુનસિંહ મંગળસિંહ પઢીયાર અને તેમના પરિવારના સભ્યો પર ગામના જ પૂર્વ સરપંચ અને તેમના ટેકેદારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પાદરા પોલીસે સામસામે 18 આરોપીઓ સામે બે ગુના દાખલ કર્યા છે. બંને પક્ષો વચ્ચે ચૂંટણીની અદાવતમાં માથાકૂટ સર્જાઈ હતીબંને પક્ષો વચ્ચે ગત સાંજે આ ઘટના બની હતી. જેમાં સરપંચ અર્જુનસિંહ પઢીયાર મેલડી માતાના મંદિરે હવનમાં હાજરી આપી રહ્યા હતા, ત્યારે તેમને માહિતી મળી કે તેમના ભત્રીજા ધવલની બાઇક પૂર્વ સરપંચ ભૂપેન્દ્રસિંહની બુલેટ સાથે ભટકાતા ઝઘડો થયો છે. સરપંચ સ્થળ પર પહોંચતા જ મામલો બિચક્યો હતો. સરપંચ અને પરિવારજનો ઈજાગ્રસ્ત થયાસામા પક્ષના ભૂપેન્દ્રસિંહ અને તેમના સાથીદારોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લાકડીઓ, પાવડા અને ધારિયા જેવા જીવલેણ હથિયારો સાથે સરપંચ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ચૂંટણીમાં ભલે અમે હારી ગયા, પણ રાજ તો અમારું જ ચાલશે તેમ કહી બેફામ ગાળો ભાંડી હતી. આ ઘટનામાં સરપંચ અર્જુનસિંહને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના ભાઈ ચંદુભાઈને માથાના પાછળના ભાગે પાવડાનો ફટકો વાગતા લોહીલુહાણ થયા હતા.પરિવારના અન્ય સભ્યોને પણ લાકડીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ જતી વખતે એવી ધમકી પણ આપી હતી કે, જો હવે પછી ચૂંટણીમાં ફોર્મ ભરીશ તો તને જાનથી મારી નાખીશું. ઘટના બાદ 108 અને પોલીસને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાદરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળવધુ ગંભીર ઇજાઓને કારણે સરપંચ અર્જુનસિંહને વાસણા-ભાયલી રોડ પરની ખાનગી કંપનીમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તેમના ભાઈ અને ભત્રીજાને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ પાદરા પોલીસે બંને પક્ષે બે ફરિયાદ નિધિ છે જેમાં આરોપી તરીકે 18 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે જૂથ અથડામણ આરોપી ( તમામ રહે ઉમરાયા, તા: પાદરા, જી: વડોદરા ગ્રામ્ય)ધવલભાઈ શૈલેષભાઈ ચાવડાઅર્જુનસિંહ મંગળસિંહ પઢિયારરવિ ભરતભાઈ પઢિયારસુનિલ અર્જુનસિંહ પઢિયારકિરણ ચંદુભાઈ પઢિયાર સરપંચે નોંધાવેલ ફરિયાદના આરોપીભુપેન્દ્રસિંહ પૂજાભાઈ સિંધાભારતસિંહ ગુલાબસિંહ સિંધારણજીતસિંહ ગુલાબસિંહ સિંધાનિતેશ ભારતસિંહ સિંધામુકેશભાઈ પૂજાભાઈ સિંધાઅક્ષિતાબેન રણજીતસિંહ ગુલાબસિંહ સિંધામહેશભાઈ જીવાભાઈ પઢિયારમંજુલાબેન ઉર્ફે મન્ની ગુલાબસિંહ સિંધાભારતસિંહ કોમલસિંહ સિંધાસંજય પ્રવીણભાઈ સિંધારાજુભાઈ મોહનભાઈ પઢિયારકપિલાબેન તે રાજુભાઈ મોહનભાઈ પઢિયારકિલીપસિંહ જીવાભાઈ પઢિયાર
કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલાએ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે પીએમશ્રી શાળાઓ અને પ્રાકૃતિક ખેતીના આયામોનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા. સચિવ નિરાલાએ સૌ પ્રથમ પીએમશ્રી રાધેગોવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે શાળાના આચાર્યા સાથે શૈક્ષણિક ગુણવત્તા અને માળખાગત સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે કોમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ પણ સાધ્યો હતો. ત્યારબાદ, તેમણે નાની ખજુરી અને અંતેલા ખાતે આવેલી પીએમશ્રી GLRS (ગર્લ્સ લિટરેસી રેસીડેન્શિયલ સ્કૂલ) ની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીનીઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સચિવ અને કલેક્ટરે શાળાના ભોજનકક્ષ, મ્યુઝિક રૂમ, લાયબ્રેરી, સાયન્સ લેબ અને ફિઝિકલ લેબની તપાસ કરી હતી. તેમણે વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની નોંધ લીધી અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું. શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત બાદ સચિવ નિરાલાએ ખેતીવાડી ક્ષેત્રે થઈ રહેલા બદલાવની સમીક્ષા કરી હતી. તેમણે અંતેલા ગામના પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલના ખેતરની મુલાકાત લીધી. અહીં તેમણે વિવિધ શાકભાજી અને ફળોની ખેતી વિશે વિગતો મેળવી હતી. ખેતીવાડી તેમજ આત્મા પ્રોજેક્ટ હેઠળ મળતી સહાય અને ટ્રેક્ટર જેવા સાધનોનું પણ નિરીક્ષણ કર્યું. વિશેષ કરીને, પ્રાકૃતિક ખેતીમાં રોલ મોડેલ બનેલા પર્વત પટેલના ફાર્મની મુલાકાત દરમિયાન નિરાલાએ ખેતીની પ્રક્રિયા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, દેવગઢ બારીયાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. આ મુલાકાત દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરત બારીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પટેલ તેમજ સ્થાનિક પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરી પરત લાવવા અંગે ભાભરના રુણી ગામે આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયુ છે. જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા છે. 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરી જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં દીકરી પરત લાવવાની જવાબદારી લીધી છે. પાંચ દિવસમાં રબારી સમાજના આગેવાનો સાથે વાતચીત કરીશું અને દીકરી પરત લાવવાનો પ્રયાસ કરીશું, જો દીકરી પરત નહીં આવે તો પાંચ દિવસ બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. પહેલા જાણી લો કે સમગ્ર મામલો શું છે?રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો હતો. જેમાં રબારી અને ચૌધરી સમાજના આગેવાનોએ ભેગા મળીને રબારી સમાજની દીકરીને પરત અપાવી હતી. જે બાદ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ રહેલાં ઉણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જેમને સંતાનમાં એક બાળક પણ છે. જોકે, હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માંગે છે. જેને લઇને આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા છે. 'મામલો સમાજના સન્માન સાથે સંકળાયેલો'ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં સમાજ દ્વારા કંકુ ચૌધરીને પરત લાવવા અંગે સર્વસંમતિથી રબારી સમાજ પાસે માંગણી કરવામાં આવશે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે, આ મામલો સમાજના સન્માન સાથે સંકળાયેલો છે, તેથી સૌએ એકજૂટ થઈને નિર્ણય લેવો જરૂરી છે. બીજી તરફ, કંકુ ચૌધરીએ ગઇકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને પોતાના પરિવારમાં કોઈ વિખવાદ ન થાય તેવી અપીલ કરી હતી. બ્લોગમાં વાંચો પળેપળની અપડેટ્સ…
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે એક એવા રીઢા ગુનેગારને દમણ ખાતેથી દબોચી લીધો છે, જેણે જમીનો પચાવી પાડવા માટે સરકારી કચેરીના અસલી દસ્તાવેજોમાં છેડછાડ કરી હતી. લેન્ડ ગ્રેબિંગ અને ચેક રિટર્ન જેવા ગંભીર ગુનાઓમાં સજા પામ્યા બાદ છેલ્લા 2.5 વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા સંજય ઉર્ફે એસ.કે. જવાહર શાહને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી દમણના આલીશાન દેવકા બીચ વિસ્તારમાંથી પોલીસના હાથે ઝડપાયો છે. સબ રજિસ્ટ્રાર કચેરીના પટાવાળા સાથે મળી મોટું કૌભાંડ આચર્યું હતુંઆ સમગ્ર કૌભાંડની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે, આરોપી સંજય ઉર્ફે એસ.કે. એ સુરતની અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં પટાવાળા તરીકે નોકરી કરતા પ્રકાશ રાઠોડ સાથે સાંઠગાંઠ કરી હતી. તેણે વર્ષ 1961 અને 1967ના અસલી દસ્તાવેજના વોલ્યુમ અને રજિસ્ટરો કચેરીની બહાર કઢાવ્યા હતા. આ કિંમતી સરકારી દસ્તાવેજોમાં મનઘડત ફેરફારો કરી તેને ફરીથી કચેરીના રેકર્ડમાં ગોઠવી દીધા હતા. આ પ્રક્રિયામાં તેણે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરી સરકારી દસ્તાવેજોને નુકસાન પહોંચાડી ગંભીર ગુનો આચર્યો હતો. બોગસ દસ્તાવેજોના આધારે બજારમાં કરોડોના જમીન સોદા કર્યાસરકારી રેકર્ડમાં છેડછાડ કર્યા બાદ આરોપીએ એ જ બોગસ દસ્તાવેજોની સર્ટિફાઈડ નકલો કચેરીમાંથી મેળવી હતી. આ નકલો અસલી હોવાનું જણાવી બજારમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે કરોડોની જમીનોના સોદા કરી મોટી રકમ પડાવી હતી. વર્ષ 2022માં આ સમગ્ર કૌભાંડ બહાર આવતા અઠવાલાઈન્સ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેની તપાસ બાદમાં ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. આરોપીએ આ રીતે અનેક નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરી હતી અને સરકારી મિલકતો તેમજ ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. ચેક રિટર્ન કેસમાં 70,00,000ના દંડ સાથે જેલની સજા ફટકારાઈલેન્ડ ગ્રેબિંગ ઉપરાંત આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ અલગ-અલગ 3 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં સુરતની 22મી એડિશનલ સીનિયર સિવિલ જજ કોર્ટે ગત 07/07/2022ના રોજ આરોપીને દોષિત ઠેરવી 70,00,000 રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો 1 વર્ષ અને 2 મહિનાની જેલની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. જે કામે પાકા કામના કેદી તરીકે સંજય શાહ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સજા ભોગવી રહ્યો હતો. વારસાઈના બહાને પેરોલ મેળવી લાંબા સમયથી પોલીસને થાપ આપીલાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા સંજય શાહે વર્ષ 2023માં પિતાની મિલકતની વારસાઈ કરાવવાના બહાને ગુજરાત હાઈકોર્ટમાં પેરોલ રજાની માંગણી કરી હતી. હાઈકોર્ટે તેને 17 દિવસની રજા મંજૂર કરી હતી, પરંતુ રજા પૂર્ણ થયા બાદ તે જેલમાં હાજર થયો નહોતો. તે પેરોલ જમ્પ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. છેલ્લા લાંબા સમયથી તે પોલીસને થાપ આપી અલગ-અલગ જગ્યાએ પોતાનું રહેઠાણ બદલી છુપાતો રહ્યો હતો, જેના કારણે ક્રાઈમ બ્રાંચ તેની પાછળ સતત વોચ રાખી રહી હતી. દમણના આલીશાન દેવકા બીચ વિસ્તારમાંથી પોલીસના હાથે ઝડપાયોસુરત ક્રાઈમ બ્રાંચને ગુપ્ત બાતમી મળી હતી કે 'એસ.કે.' દમણના દેવકા બીચ પાસે આવેલી સી પ્રિન્સેસ રેસીડેન્સીમાં છુપાયો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દમણમાં વોચ ગોઠવીને તેને આબાદ રીતે દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી સંજય શાહ 52 વર્ષનો છે અને મૂળ સુરતના નાનપુરા વિસ્તારનો વતની છે. દમણમાં તે પોતાની ઓળખ છુપાવીને આલીશાન વિસ્તારમાં રહી રહ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી સુરત લાવવાની તજવીજ હાથ ધરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેલર દ્વારા પ્રિઝન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધાવાયો હતોનામદાર હાઈકોર્ટના હુકમનો અનાદર કરી પેરોલ રજાનો ગેરલાભ ઉઠાવી ફરાર થઈ જવા બદલ લાજપોર જેલના જેલર દ્વારા આરોપી વિરુદ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટની કલમ 51(A) અને 51(B) અન્વયે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીએ કાયદાનો ભંગ કરી નાસી જવાની જે હિંમત કરી હતી, તે બાબતે પણ હવે કડક પૂછપરછ કરવામાં આવશે. હવે તેની ધરપકડ થતા તેને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની અને કાયદાકીય પાઠ ભણાવવાની તૈયારીઓ પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આરોપી જમીન કૌભાંડનો રીઢો માસ્ટરમાઈન્ડસંજય ઉર્ફે એસ.કે. વિરુદ્ધ અઠવાલાઈન્સ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ગુનો-1 મુજબ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 હેઠળ કાર્યવાહી થયેલી છે. ગુનો-2માં વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજ ઉભા કરવા અંગેની કલમ 420, 467, 468 હેઠળ કેસ ચાલી રહ્યા છે. જ્યારે ગુનો-3 મુજબ સરકારી રેકર્ડમાં છેડછાડ કરી નકલી પુરાવા ઉભા કરવા અંગેનો ગંભીર કેસ છે. આ તમામ કેસોમાં તેની સંડોવણી પુરાવા સાથે સાબિત થઈ ચુકી છે. તપાસમાં સરકારી તંત્રના વધુ મોટા માથાઓની સંડોવણીની શક્યતાક્રાઈમ બ્રાંચની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, સરકારી કચેરીના રેકર્ડ રૂમ સુધી તેની પહોંચ ઘણી ઉંડી હતી. માત્ર એક પટાવાળો જ નહીં, પરંતુ અન્ય કોઈ અધિકારીઓની છૂપી સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે. આરોપીએ આ સમયગાળા દરમિયાન અન્ય કેટલી જમીનો પર કબજો કર્યો અને કોની કોની મિલકતો હડપ કરી છે તેની વિગતો પોલીસ મેળવી રહી છે. આ તપાસમાં આવનારા દિવસોમાં મહેસૂલ વિભાગના અન્ય કર્મચારીઓના નામ પણ ખુલી શકે છે. જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યોલાંબા સમયથી ફરાર આ રીઢા ગુનેગારને પકડી પાડી ક્રાઈમ બ્રાંચે જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આ સરાહનીય કામગીરી કરનાર ક્રાઈમ બ્રાંચની ટીમની પ્રશંસા કરવામાં આવી છે. આરોપીને હવે કોર્ટમાં રજૂ કરી ફરીથી લાજપોર જેલ હવાલે કરવામાં આવશે અને તેના પેરોલ જમ્પ કરવા પાછળ તેને કોણે આશરો આપ્યો હતો તેની પણ ઝીણવટભરી તપાસ થશે.
મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે ભારત વિકાસ પરિષદ - પાલડીના સહયોગથી નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અનેક દિવ્યાંગોએ લાભ લીધો હતો, જ્યાં તેમને સાધન સહાય પૂરી પાડવામાં આવી હતી અને પ્રોત્સાહિત કરવા માટે પરામર્શન પણ યોજાયું હતું. કેમ્પ દરમિયાન, દિવ્યાંગોને ઘોડી અને સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, વ્હીલચેર અને કેલીપર્સની જરૂરિયાત ધરાવતા દિવ્યાંગોના માપ લેવામાં આવ્યા હતા. આ સાધનોનું વિતરણ 29 માર્ચ, રવિવારના રોજ સવારે 10 વાગે સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગર ખાતે કરવામાં આવશે. આ કેમ્પ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ દિવ્યાંગો સાથે પરામર્શ કર્યો હતો. તેમણે દિવ્યાંગોના જીવનના પ્રસંગો સાંભળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા.સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, વિકલાંગતા એ શ્રાપ નથી, પરંતુ કુદરતે આપેલી એક અલગ ક્ષમતા છે. તેમણે ઉમેર્યું કે, મર્યાદા શરીરની હોય છે, મનની નહીં. આ મંત્ર સાથે જીવવાથી જીવનના અનેક પડકારો સામે લડી શકાય છે. તેમણે દિવ્યાંગોને શરીરમાં રહેલી ખોટને બદલે ભગવાને આપેલી વિશિષ્ટ શક્તિને ઓળખી તેનો ઉપયોગ કરવા પ્રેરણા આપી. તેમણે દિવ્યાંગોને ક્યારેય હિંમત ન હારવા અને સ્વામિનારાયણ ભગવાન પર શ્રદ્ધા રાખવા જણાવ્યું, જેથી મુશ્કેલીઓમાં માર્ગદર્શન મળી રહે. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, અમે પણ તમારી સાથે ઊભા છીએ અને સાથે મળીને તકલીફોનો સામનો કરીશું. તેમણે દિવ્યાંગોની અત્યાર સુધીની મુશ્કેલીઓ સામે લડવાની ભાવનાને બિરદાવી અને તેમને વંદનને પાત્ર ગણાવ્યા.કેમ્પના અંતે, દિવ્યાંગોને મંદિરમાં ભોજન કરાવવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ - પાલડી દ્વારા સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
એક કચોરી દો સમોસા ;સરકાર તેરા ક્યા ભરોસા, હમ ભારત કી નારી હૈ; ફૂલ નહીં ચિંગારી હૈ જેવા નારા સાથે રાજકોટમાં જયુબેલી ગાર્ડનમાં 700 જેટલી આંગણવાડી બહેનોએ નારેબાજી કરી હતી. રાજકોટમાં 360 સહિત રાજ્યની 53000 આંગણવાડીની 1.06 લાખ બહેનો આજે 18 થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરશે. આંગણવાડી વર્કરનો માસિક રૂ.10,000 અને હેલ્પરનો રૂ.5,500 થી વધારી અનુક્રમે રૂ.24,800 અને રૂ.20,400 કરવામાં આવે તેમજ મોબાઇલ આપવામાં આવે તે સહિતની 12 માંગણીઓને લઈ બહેનો વિરોધ કરી રહી છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે તેવી તેઓની માંગણી છે. જો સરકાર તેમની માગણી નહીં સંતોષે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી પણ વિચારવામાં આવી હતી. કલાવતીબેન પરમારે જણાવ્યું હતું કે, કોઠારીયામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છે. હાલમાં અમારો રૂ.10,000 પગાર છે. જ્યારે આંગણવાડી હેલ્પરનો રૂ.5,500 છે. હાઇકોર્ટના ચુકાદા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા વર્કર બહેનોનો રૂ.24,800 અને હેલ્પર બહેનોનો રૂ.20,400 પગાર કરવામાં આવ્યો નથી. રાજકોટમાં 360 આંગણવાડી છે અને તેમાં 700 બહેનો વર્કર અને હેલ્પર તરીકે કામ કરે છે. આ ઉપરાંત અમારી બીજી માંગણી મોબાઈલની છે. મોબાઇલમાં સાત પ્રકારની કામગીરી કરવામાં આવે છે પરંતુ તેના માટે સરકાર તરફથી મોબાઈલ આપવામાં આવતો નથી જેથી અમારે પર્સનલ મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે. જેથી મોબાઈલ આપવામાં આવે તેવી માંગણી છે. જ્યારે અન્ય આંગણવાડી વર્કર દ્રષ્ટિબેન પટેલે જણાવ્યુ હતુ કે, હાલ પુનિતનગર આંગણવાડીમાં વર્કર તરીકે કામ કરું છું. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ પણ સરકાર દ્વારા પગાર વધારો કરવામાં આવ્યો નથી જેને લઈને આજથી ત્રણ દિવસ અમે રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહીશું. હાલ અમે જયુબેલી ગાર્ડનમાં એકત્ર થયા છીએ અને અમારો વિરોધ નોંધાવ્યો છે. ગત 5 માર્ચથી ઓનલાઇન કામગીરી બંધ કરી દીધી છે. અમારા બાળકો પૂરક પોષણથી વંચિત રહે છે તે અમને પણ ગમતું નથી પરંતુ અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી અને તેને કારણે અમે ત્રણ દિવસ સુધી અમારી માંગણીઓને લઈને ધરણા કરશું. હાલ અમે આંગણવાડીમાં તાળાબંધી કરી છે. જેથી સરકાર પગાર વધારાની માંગણી સંતોષે તેવી રજૂઆત છે. સી.આઈ.ટી.યુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન 26 જિલ્લાના 106 જેટલા આગેવાનોની બનેલી કારોબારીની બેઠકમાં તા.18, 19 અને 20 માર્ચના રોજ કામગીરીથી અળગા રહેવાનુ એલાન કરાયુ છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પરના પગારમાં વધારો, ડિજિટલ કામગીરી માટે 2022 માં આપેલ વચન મુજબ નવા મોબાઇલ આપવા, નિવૃત્તિ વયમર્યાદા 60 કરવા, બાળકોના પોષણ આહાર માટેના દર 2019 માં નક્કી કરાયા બાદ વધારો ન કરાતા તે વધારો કરવા, AVT અને FRS જેવી એપ્લિકેશન ચાલતી ન હોય બંધ કરવી, બાળકોના પોષણ આહાર તેમજ અન્ય તમામ બિલો નિયમિત ચૂકવાય અને તે બહેનોને પોતાના પગારમાંથી ખર્ચ ન પડે તે માટે એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવા સહિતની 12 જેટલી માગણીઓ મૂકવામાં આવી છે. વધુમાં જણાવ્યા મુજબ, 10 ની માર્ચ 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રીએ હૈયા ધારણા આપી હોવા છતાં એક પણ માગણીઓનો ઉકેલ ન આવતા છેવટે પ્રથમ તબક્કામાં તારીખ 18, 19 અને 20 માર્ચના રોજ રજા રિપોર્ટ ભરીને તેમજ સ્થાનિક અધિકારીઓને આવેદનપત્રો આપીને કામથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે.લાંબા સમયથી ગુજરાતની 1,06,000 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સરકાર સમક્ષ 27 વખત બેઠક યોજીને માગણીનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી ચૂકી છે. સરકારને જો કુપોષિત બાળકોની ચિંતા જ હોય તો છેક 2018 માં પોષણના આહાર દરો નક્કી કરાયા હતાં તેમાં કોઈ જ વધારો કરાયો નથી તે કરી જ શક્યા હોત અને તેથી બાળકોના પોષણ આહારને નુકસાન પહોંચતું હોવાની રજૂઆત કર્યા છતાં આ બાબતે પણ સરકાર દ્વારા નિર્ણય કરાયો નથી. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે પગારમાં 1500નો વધારો કરી અને વર્કરને 4,500અને હેલ્પરને 625નો વધારો કરીને 2250 કર્યા હતા તથા રાજ્ય સરકારે 2022 માં વર્કરને માત્ર રૂપિયા 2250 અને હેલ્પર ને 3000 વધારો કર્યા બાદ કોઈ જ વધારો કર્યો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર અને હેલ્પરોના પગારોમાં વધારો કર્યા વિના કામના બોજમાં પણ જંગી વધારો કર્યો છે. વર્તમાન મોંઘવારીની પરિસ્થિતિમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોને જીવન ટકાવવું મુશ્કેલ બની જતા છેવટે પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા શાહપુર સ્થિત સફલ વિદ્યાલયના 300 વિદ્યાર્થીઓને સ્ટેશનરી ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબુક અને બોલપેનનું વિતરણ કરાયું હતું.સ્ટેશનરી વિતરણની સાથે સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા વિષયક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખે બાળકોને પરીક્ષાના ભય વિના સફળતા કેવી રીતે મેળવવી તે અંગે સમજાવ્યું હતું. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને વિજય દલાલ ઉપસ્થિત રહ્યા હતા. સફલ વિદ્યાલયના સંચાલક દિનેશભાઈ શાહે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને આગામી પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, અને કાર્યક્રમનું સમાપન થયું હતું.
ગિરનાર પર્વત પર બિરાજમાન આદ્યશક્તિ મા અંબાના પવિત્ર ધામમાં દારૂ-નોનવેજની મેહેફિલ અને દાન ચોરી મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની મહેફિલના વીડિયો વાઈરલ થતા બાજ લાખો ભક્તોની લાગણીને ઠેંસ પહોંચી હતી. આ પ્રકારની ઘટનાનું ભવિષ્યમમાં પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને હાલ મહંતની નિમણૂકની ચાલી રહેલી પ્રક્રિયા રદ કરી નવેસરથી કડક માપદંડો સાથે કરવાનો નિર્ણય લેવાયો છે. પવિત્ર પરિસરમાં દારૂ-નોનવેજની મહેફિલતપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ગત 22 ઓક્ટોબર 2025ના રોજ મંદિરના મુખ્ય પૂજારી કિશોરસિંહ ચૌહાણના પુત્ર અભિષેક ચૌહાણે પોતાના મિત્રો સાથે મળીને મંદિર પરિસરમાં અનધિકૃત પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ ગિરનારની સીડીઓ વાટે ઉપર પહોંચી, મંદિરના ગોખના આગળના ભાગમાં દારૂનું સેવન કર્યું હતું. એટલું જ નહીં, ત્યારબાદ અભિષેક ચૌહાણ આ શખ્સોને મંદિરના ભંડારાના રસોઈઘરમાં લઈ ગયો હતો, જ્યાં તેઓએ મટન (નોનવેજ)ની મિજબાની માણી હતી. આ ઘટનામાં અભિષેક ચૌહાણ, જીગ્નેશ ડાભી, છગન ડાભી, નિખિલ મેઘનાથી અને બે સગીર સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો છે. તપાસમાં ખૂલ્યું છે કે છગન ડાભી શહેર વિસ્તારમાંથી દારૂ અને નોનવેજ ઉપર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. આ તત્વોએ માત્ર દારૂ-માંસનું સેવન જ નથી કર્યું, પરંતુ અભદ્ર ગાળો બોલીને વિડિયો બનાવી ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય પણ કર્યું છે. દાનપેટીની રકમમાં કરોડો શ્રદ્ધાળુઓ સાથે વિશ્વાસઘાતબીજી ફરિયાદ પૂજારીઓ દ્વારા આચરવામાં આવેલી નાણાકીય અનિયમિતતા અંગે છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કેટલાક પૂજારીઓ દાનપેટીના છિદ્ર પર કપડું કે અન્ય વાસણ રાખી દેતા હતા, જેથી શ્રદ્ધાળુઓ દ્વારા અપાતું દાન સીધું દાનપેટીમાં જવાને બદલે બહાર રહે. આ રકમ પૂજારીઓ પોતાના ખિસ્સામાં સેરવી લેતા હતા. આ ઉપરાંત, ગર્ભગૃહમાં દર્શનાર્થીઓને અનધિકૃત રીતે પ્રવેશ આપી તેમની પાસેથી રોકડા રૂપિયા વસૂલવાની પ્રવૃત્તિ પણ સામે આવી છે. આ આર્થિક છેતરપિંડીમાં સામેલ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ એમ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પૈકી માત્ર એક જ વ્યક્તિ અધિકૃત પૂજારી હતો, બાકીના તમામ અનધિકૃત રીતે પૂજાના બહાને નાણાં ઉઘરાવતા હતા. વહીવટી તંત્રની કડક કાર્યવાહી અને નવા આદેશોજૂનાગઢ જિલ્લા કલેક્ટરે આ ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. 29 નવેમ્બર 2024થી મંદિરનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં, ત્યાં ફરજ પરના કર્મચારીઓની બેદરકારી બદલ 12 કર્મચારીઓની મંદિર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે વહીવટદારની તપાસ કરવામાં આવશે અને જો તેમની નિષ્કાળજી જણાશે તો તેમની સામે પણ પગલાં લેવાશે. ભવિષ્ય માટે લેવાયેલા મહત્વના નિર્ણયો: * મહંત નિમણૂક રદ: અંબાજી મંદિરના મહંતની નિમણૂકની ચાલી રહેલી પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને હવે નવેસરથી કડક માપદંડો સાથે પ્રક્રિયા થશે. * સીસીટીવી અને સુરક્ષા: સમગ્ર મંદિર પરિસરને અત્યાધુનિક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે અને 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે. * રજિસ્ટર વ્યવસ્થા: મંદિરમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનું હાજરી રજિસ્ટર રાખવામાં આવશે. * રાત્રિ રોકાણ પર પ્રતિબંધ: કોઈપણ વ્યક્તિને પરવાનગી વગર રાત્રે રોકાવા દેવામાં આવશે નહીં. * નિયમિત મુલાકાત: વહીવટદાર અને મામલતદારે દર અઠવાડિયે મંદિરની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરવાની રહેશે. કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર દત્ત શિખર અને અંબાજી મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે પ્રશાસન હવે આરપારના મૂડમાં છે. ભવનાથ પોલીસ હાલ આ તમામ 11 આરોપીઓ વિરુદ્ધ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. આ સમાચાર પણ વાંચોઃગિરનાર અંબાજી મંદિર માંસ-મટન પ્રકરણમાં નવો વળાંક, પૂજારી પ્રિન્સ ઠાકોરનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ તપાસ દરમિયાન આજે એક નવો વળાંક આવ્યો છે, જેમાં પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન દ્વારા 1500 કુંડાનું વિતરણ:પક્ષીઓ માટે પાણીના કુંડા ઝવેરીવાડ ખાતે અપાયા
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે 1500 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણ કાર્યક્રમ ઝવેરીવાડ ખાતે યોજાયો હતો.આ શુભ કાર્યક્રમમાં દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સેવા કાર્યનો લાભ લીધો હતો.સંસ્થાએ કુલ 50,000 કુંડાનું વિતરણ કરવાનો સંકલ્પ લીધો છે, જે અંતર્ગત આ પ્રથમ તબક્કાનું વિતરણ કરવામાં આવ્યું છે.
હારીજ સરકારી કૉલેજમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો:15થી વધુ વિદ્યાર્થીઓને રોજગારીની તક માટે માર્ગદર્શન
હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દ્વારા 18 માર્ચ,2026ના રોજ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંતિમ વર્ષના 15થી વધુ વિદ્યાર્થીઓને રોજગારીની તકો મળી હતી.વિદ્યાર્થીઓને રોજગારની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુસર આયોજિત આ કેમ્પમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. કંપનીઓ દ્વારા લેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ જેવા તબક્કાઓ દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.આ કાર્યક્રમના આયોજનમાં કૉલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ટી.પી. આનંદે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમનું આયોજન ડૉ. માનસિંહ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રા. ઈશ્વર ચૌધરી અને પ્રા. નરેશ ચૌધરીએ સહાયક તરીકે કાર્ય કર્યું હતું.આ પ્રકારના પ્લેસમેન્ટ કાર્યક્રમો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે માર્ગદર્શનરૂપ બની રહે છે અને તેમને રોજગારીના નવા દ્વાર ખોલવામાં મદદ કરે છે.
કડીમાં હરે કૃષ્ણ કેન્દ્રનો બૃહદ સંકીર્તન મહોત્સવ:7 બસ્તીઓમાં ભગવદ ગીતા અને પ્રસાદનું વિતરણ કરાયું
કડી, 18 માર્ચ 2026ના રોજ હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હરિ નામ સંકીર્તન દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનો અને લોકોના કલ્યાણ માટે પ્રયત્ન કરવાનો હતો.આ મહોત્સવ અંતર્ગત કુલ 7 બસ્તીઓમાં સંકીર્તન યાત્રા યોજાઈ હતી. જેમાં માલ્હારપુરા, પ્રજાપતિ વાસ, ખાટ ચોક રામજી મંદિર, વાલ્મીકી વાસ, આદર્શ હોસ્ટેલ પાછળનો વિસ્તાર, કેશવનગર અને વાસનો સમાવેશ થાય છે.કાર્યક્રમ દરમિયાન 1000થી વધુ ભગવદ ગીતાની પ્રતિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 2000થી વધુ લોકો માટે પ્રસાદનું વિતરણ પણ કરાયું હતું. સંકીર્તન દ્વારા આ વિસ્તારોમાં રહેતા લોકોના આધ્યાત્મિક કલ્યાણ માટે હરિનામનો પ્રસાર કરવામાં આવ્યો.આ આયોજનમાં કડી શહેરના 100થી વધુ સેવકો (વોલન્ટિયર્સ) જોડાયા હતા. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું. હરે કૃષ્ણ કેન્દ્ર, કડી એ ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજની પ્રેરણાથી શરૂ કરાયેલી એક પહેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ લોકોને આધ્યાત્મિક લાભ પહોંચાડવાનો છે. આ પ્રયત્નો કૃષ્ણકૃપામૂર્તિ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના વિશ્વ કલ્યાણના દ્રષ્ટિકોણને સાકાર કરવા સમર્પિત છે.આ પ્રકારનો કાર્યક્રમ કડી શહેરમાં આધ્યાત્મિક ચેતના વધારવામાં મદદરૂપ થયો છે. ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો ચાલુ રહેશે.
સુરતના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા મેનોપોઝ અને કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં KP ગ્રૂપના સ્થાપક ચેરમેન ફારૂકભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના વિશિષ્ટ મહેમાન તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. તેમણે KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના આરોગ્ય અંગે કરાયેલી આ પહેલને સરાહનીય ગણાવી હતી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો શુભેચ્છા સંદેશ પણ વાંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે રંજનાબેન ગોસ્વામી, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, સભ્ય અનુરાગભાઈ કોઠારી, ઇન્ચાર્જ ઉપશાસનાધિકારી શ્રીમતી રાગીનીબેન દલાલ અને ભદ્રા જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન, ડૉ. અમીબેન યાજ્ઞિક અને તેમની ટીમ દ્વારા મહિલાઓના આરોગ્ય વિષય પર, ખાસ કરીને મેનોપોઝ સંબંધિત, મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ તાપમાનનો પારો 41 ડીગ્રીને પાર થયો છે. આકરી ગરમી અને ગરમ લૂના કારણે શહેરીજનો અકળાઈ રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. અને લૂ લાગવાથી કે હીટ સ્ટ્રોકને કારણે બીમાર પડતા લોકોની ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર માટે હોસ્પિટલ દ્વારા ખાસ 20 બેડનો વોર્ડ ઉભો કરાયો છે. જેમાં 5 અનુભવી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ માત્ર શહેર પૂરતી મર્યાદિત નથી, પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહીં સારવાર અર્થે આવતા હોય છે. આ બાબતને ધ્યાને લઈ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની ઉપર, વોર્ડ નં. 10ના બિલ્ડિંગમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે એક અલાયદો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં કુલ 20 જેટલા બેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગંભીર બીમારીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી 5 અનુભવી તબીબો અને 10 નર્સિંગ સ્ટાફ સહિતના પેરા મેડિકલ સ્ટાફને 24 કલાક ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યા છે. વોર્ડમાં ઓ.આર.એસ (ORS) ના પેકેટ, જરૂરી જીવનરક્ષક દવાઓ અને ઠંડકની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. રાજકોટ સિવિલનાં આરએમઓ એમ.એસ. રોયના જણાવ્યું હતું કે, વધતી જતી ગરમીને કારણે હીટવેવના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલના મેડિકલ વોર્ડ 10માં હીટવેવના દર્દીઓ માટે સ્પેશિયલ 20 બેડની સુવિધા સાથેનો નવો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં હીટવેવના દર્દીઓની સારવાર માટે 10 નર્સિંગ સ્ટાફ અને 5 ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હીટવેવના દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે દવાનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દર્દીઓની જરૂરિયાત મુજબ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 24 કલાક કાર્યરત અન્ય વોર્ડ ઉપરાંત હીટવેવ માટે આ સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને ગરમીના કારણે કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગરમી વધતા સામાન્ય રીતે લૂ લાગવી, હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કિસ્સાઓ વધતા હોય છે. આવા સમયમાં જો દર્દીને સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ માટે સિવિલ હોસ્પિટલનું તંત્ર હાલ સતર્ક અને જરૂરી સાધન-સામગ્રી સાથે તૈયાર છે. આ સાથે જ હોસ્પિટલ તંત્ર દ્વારા સામાન્ય જનતાને પણ ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીના સમયગાળામાં, જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, ત્યારે વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તો મજૂર વર્ગને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ શક્ય હોય તો વહેલી સવારે અથવા મોડી સાંજે કામ કરે અને બપોરે 12 થી 4 ના અસહ્ય તડકાથી બચે. તબીબોના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિને ઉલટી-ઉબકા આવે, ચક્કર આવે, આંખે અંધારા લાગે અથવા અચાનક ગભરામણ જેવો અનુભવ થાય, તો તેણે તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય બહારના ઠંડા પીણાં કે ખુલ્લો ખોરાક ખાવાને બદલે શુદ્ધ પાણી, છાશ અને ઘરના તાજા ખોરાકનો આગ્રહ રાખવો જોઈએ. રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અહીં દર્દીઓનો ધસારો રહે છે, પરંતુ તંત્ર દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે દરેક દર્દીને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે.
આર.સી. કોલેજમાં 'ટ્રેડિશનલ ડ્રેસ ડે'ની ઉજવણી:વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યોના પરંપરાગત પોશાકમાં સજ્જ થયા
આર.સી. કોલેજ ઓફ કોમર્સ ખાતે 'ટ્રેડિશનલ ડ્રેસ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી વિદ્યાર્થી પ્રતિનિધિ સભા દ્વારા કોલેજ કેમ્પસમાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને પરંપરાગત પોશાકનું મહત્વ સમજાવવાનો હતો. આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બન્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળ જેવા વિવિધ રાજ્યોના પરંપરાગત પોશાક ધારણ કર્યા હતા. છોકરીઓ સાડી, ચણિયાચોળી, પંજાબી સૂટ જેવી વેશભૂષામાં સજ્જ હતી, જ્યારે છોકરાઓ કુર્તા-પાયજામા, કેડીયું-ધોતિયું અને રાજસ્થાની પોશાકમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વેશભૂષાની હરીફાઈનું આયોજન થયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પોશાકને અનુરૂપ તે રાજ્યની વિશેષતાઓ દર્શાવતા નૃત્યો અને પ્રસ્તુતિઓ આપી હતી. નિષ્ણાતોના નિર્ણયના આધારે ચાર છોકરીઓ અને ત્રણ છોકરાઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ગરબા, વિવિધ નૃત્યો અને કેટવોક જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિદ્યાર્થી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ પ્રા. ડૉ. પરિમલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાઓ બહાર આવે છે અને તેઓ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ તથા પરંપરાઓ વિશે જાણવાની તક મેળવે છે. આ પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી જગાવે છે અને અનેકતામાં એકતાનો સંદેશ મજબૂત બનાવે છે. કોલેજના આચાર્ય ડૉ. સાગર દવેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તકના શિક્ષણ પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પણ આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવી શકે તે માટે કોલેજમાં સમયાંતરે વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રા. ચિંતન દવે અને પ્રા. ભારત ભાટીએ વિદ્યાર્થીઓને સક્રિય ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું હતું. 'ટ્રેડિશનલ ડ્રેસ ડે'ની ઉજવણી દરમિયાન કોલેજના અધ્યાપકવર્ગે પણ પરંપરાગત પોશાક ધારણ કરી ઉપસ્થિતિ નોંધાવી હતી.
જામનગરનો ભુજિયો કોઠો કાલથી પ્રવાસીઓ માટે ખુલ્લો:174 વર્ષ જૂની ઐતિહાસિક ઇમારતનું રેસ્ટોરેશન પૂર્ણ
જામનગરનો ઐતિહાસિક ભુજિયો કોઠો, જે 174 વર્ષ જૂનો છે, તેનું રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ જાજરમાન સ્મારક આવતીકાલ, ગુરુવારથી જાહેર જનતા અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. 14 વર્ષની મહેનત બાદ 1840માં નિર્મિત આ ઇમારત ફરીથી ધમધમશે. રણમલ તળાવ પાસે આવેલો આ ભુજિયો કોઠો ઈ.સ. 1840માં દુષ્કાળ રાહત કામગીરીના ભાગરૂપે બનાવવામાં આવ્યો હતો, જેથી લોકોને રોજગારી મળી રહે. તેનું બાંધકામ ઈ.સ. 1839થી 1852 સુધી, એટલે કે 14 વર્ષ ચાલ્યું હતું. તે સમયે આ સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત (સ્કાયસ્ક્રેપર) ગણાતી હતી અને તેનો ઉપયોગ વોચ ટાવર તથા શસ્ત્રાગાર તરીકે થતો હતો. સમય જતાં જર્જરિત થયેલા આ કોઠાને તેના મૂળ વૈભવમાં લાવવા માટે આધુનિક પદ્ધતિથી કન્ઝર્વેશન, રેસ્ટોરેશન, કન્સોલિડેશન અને રી-પ્રોડક્શનનું કાર્ય કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ રક્ષિત સ્મારકના સંરક્ષણ માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રવાસીઓની સલામતી અને અકસ્માત નિવારવા માટે, ઇમારતની ઊંચાઈ અને બાંધકામ શૈલીને ધ્યાનમાં રાખીને મુલાકાતીઓની સંખ્યા પર મર્યાદા મૂકવામાં આવી છે. પ્રથમ બે માળ માટે એક સમયે 50 વ્યક્તિઓને અને ઉપરના ત્રણ માળ માટે 25 વ્યક્તિઓને વારાફરતી પ્રવેશ આપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ જાનીએ પ્રવાસીઓને આ નિયમોનું પાલન કરવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરી છે. 'છોટી કાશી' તરીકે જાણીતા જામનગરની શાન ગણાતો આ ભુજિયો કોઠો હવે ઇતિહાસ અને આધુનિકતાનો સંગમ રજૂ કરશે. રણમલ તળાવની શોભામાં વધારો કરતું આ ઐતિહાસિક સ્મારક શહેરના પર્યટન માટે એક નવું આકર્ષણ બનશે.
ભરૂચમાં મહિલા સ્વરોજગાર અને રોજગાર મેળો યોજાયો:મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો, આત્મનિર્ભરતા પર ભાર
ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી 'મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તથા જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. મેળાનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો, તેમને સ્વરોજગાર માટે પ્રેરિત કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો હતો. આ મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મહિલાઓને તેમની લાયકાત અનુસાર રોજગારની તકો વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સ્વરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત તથા જન વિકાસ સંસ્થાનના જૈનુલુદ્દીન સૈયદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા મહિલાઓને સ્વરોજગાર માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું અને વિવિધ સરકારી યોજનાઓ, સહાય તથા તાલીમ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મેળા દરમિયાન રોજગાર મેળવવા ઇચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન મળ્યું હતું. કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી (ઇન્ટરવ્યુ) પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમને મહિલાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર દ્વારા સેટેલાઇટ ખાતે સદવિચાર પરિવારમાં તેના ૧૨મા સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સદવિચાર પરિવારના પ્રમુખ સિદ્ધાર્થ મણકીવાલા, ઉપપ્રમુખ દર્શિતભાઈ, લાયન્સ ક્લબ ઓફ સદવિચારના સ્મિતાબેન અને સુહાની ફાઉન્ડેશનના સુહાસભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ૭૫ જેટલા લોકોએ ભાગ લીધો હતો. જય ભગવાન એક્યુપ્રેશર અને સુહાની ફાઉન્ડેશનના શ્રી સુહાસભાઈ શાહનું ઉપરણું અને માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જય ભગવાનના સેવા આપતા સાથીદારો અલકાબેન સોલંકી, માનસી ધનાણી, માલતીબેન બારભૈયા અને પોરસભાઈ મજમુદારનું ગુલાબના ફૂલ અને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમયના અભાવને કારણે ઉદ્ઘાટનના દિવસે ફક્ત ૧૫ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ નવું કેન્દ્ર હવેથી દર સોમવારે અને બુધવારે સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન નિયમિતપણે સારવાર સેવાઓ પૂરી પાડશે.નગરજનો અને ખાસ કરીને સેટેલાઇટ વિસ્તારના રહેવાસીઓને આ નિઃશુલ્ક સારવાર સેવાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
જૂનાગઢ ગિરનારની પવિત્ર તપોભૂમિ પર આવેલા ભારતી આશ્રમ ખાતે આજે એક આધ્યાત્મિક મંગલમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. વર્ષ 2021 માં બ્રહ્મલીન થયેલા અનંત વિભૂષિત કાશી પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય પદના દાવેદાર અને લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન 1008 મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ એટલે કે પૂજ્ય ભારતી બાપુની આજે પાંચમી પુણ્યતિથિ છે. આ પવિત્ર અવસરે આશ્રમના વર્તમાન મહંત અને મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ફાગણ વદ ચૌદશના આ ખાસ દિવસે આશ્રમમાં વહેલી સવારથી જ ગુરુ ભક્તિનો ધોધ વહી રહ્યો છે અને ભક્તો પોતાના આરાધ્ય દેવના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે. આજના દિવસભરના કાર્યક્રમોની રૂપરેખા વિશે માહિતી આપતા મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે ગુરુદેવના નિર્વાણ બાદ તેમની સ્મૃતિમાં દર વર્ષે આ રીતે ભક્તિભાવ પૂર્વક પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુ પૂજન અને ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બપોરના સમયે ગિરનારના રક્ષક ગણાતા રમતા સાધુઓ અને અન્ય સંપ્રદાયના સંતો માટે 'સંત ભંડારો' એટલે કે મહાપ્રસાદનું આયોજન છે. રાત્રિના સમયે ભજન અને ભક્તિના સમન્વય સાથે વિશાળ સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાતના નામી-અનામી કલાકારો પોતાની કલાના માધ્યમથી ગુરુ મહિમા અને સનાતન ધર્મની ગાથાઓ રજૂ કરશે. બ્રહ્મલીન ભારતી બાપુનું જીવન ચરિત્ર એ સેવા, સાધના અને સમર્પણનો ત્રિવેણી સંગમ સમાન રહ્યું છે. તેમનો જન્મ અમદાવાદના ધોળકા પાસેના અરણેજ ગામે થયો હતો પરંતુ તેમનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત અને ભારત રહ્યું હતું. તેઓ સદાય માનતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને આ જ મંત્રને તેમણે પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી સાર્થક કર્યો હતો. ગિરનારની ગુફાઓમાં સાધના કરી રહેલા સંતો હોય કે પછી સામાન્ય જનતા, બાપુનો આશ્રમ દરેક માટે ખુલ્લો રહેતો હતો. તેમણે હરહંમેશ ભજન, ભોજન અને શિક્ષણને સમાજ ઉત્થાનના ત્રણ મુખ્ય સ્તંભ ગણાવ્યા હતા. બાપુ કહેતા કે જ્યાં સુધી માણસનું પેટ ભૂખ્યું હશે ત્યાં સુધી તેને ભજનમાં મન નહીં લાગે, આથી જ તેમણે જૂનાગઢ અને સરખેજ આશ્રમમાં અવિરત અન્નક્ષેત્રો શરૂ કર્યા હતા જ્યાં કોઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિને સન્માનપૂર્વક ભોજન મળે છે. શિક્ષણ પ્રત્યે બાપુનો અભિગમ અત્યંત આધુનિક અને દાર્શનિક હતો. તેઓ સમજતા હતા કે ભવિષ્યની પેઢીને જો સંસ્કારિત કરવી હશે તો તેમને યોગ્ય શિક્ષણ આપવું અનિવાર્ય છે. તેમણે અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ગરીબ બાળકો ભણી શકે તે માટે આડકતરી રીતે પણ મદદ પહોંચાડતા હતા. ભજન એ તેમના જીવનનો પ્રાણ હતો. ગિરનારની તળેટીમાં જ્યારે શિવરાત્રીનો મેળો ભરાય છે ત્યારે ભારતી આશ્રમ ખાતે જામતી ભજનની હેલી બાપુના ભક્તિમય વ્યક્તિત્વની પ્રતીતિ કરાવતી હતી. તેઓ યુવાનોને સનાતન સંસ્કૃતિ સાથે જોડવા માટે હરહંમેશ તત્પર રહેતા અને વ્યસનમુક્તિ માટે પણ પ્રેરણા આપતા હતા. હરિહરાનંદ ભારતી બાપુએ ગુરુનો મહિમા સમજાવતા અદ્ભુત વાત કરી હતી કે ગુરુ શબ્દમાં રહેલા 'ગુ' નો અર્થ અંધકાર અને 'રુ' નો અર્થ પ્રકાશ થાય છે. જે આપણને અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય તે જ સાચા ગુરુ છે. ભારતી બાપુએ પોતાના શિષ્યો અને ભક્તોના જીવનમાં આ જ કામ કર્યું હતું. આજે તેમની પાંચમી પુણ્યતિથિએ તેમના આશીર્વાદ સૌ પર વરસતા રહે અને સૌ સત્યના માર્ગે ચાલે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. હરિહરાનંદ બાપુએ તમામ ભાવિકોને આખો દિવસ ચાલનારા પૂજન અને રાત્રિના સંતવાણી કાર્યક્રમનો લાભ લેવા ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે. ગિરનારની આ પવિત્ર ભૂમિ પર આજે ગુરુ ભક્તિનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે જે શ્રદ્ધાળુઓના હૃદયમાં શાંતિ અને નવી ઉર્જાનો સંચાર કરશે.
અમદાવાદના નરોડા સ્થિત એ.પી. પટેલ આર્ટ્સ તથા એમ.પી. પટેલ કોમર્સ કોલેજ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી આયોજિત ભારતીય લેખનકલા અને હસ્તપ્રતવિદ્યા વિષયક સાત દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું 16 માર્ચ, 2026ના રોજ સમાપન થયું. આ કાર્યશાળા 10 થી 16 માર્ચ, 2026 દરમિયાન યોજાઈ હતી. કોલેજનો સંસ્કૃત વિભાગ છેલ્લા 17 વર્ષથી આ કાર્યશાળાનું આયોજન કરતો આવ્યો છે. સમાપન સત્રના મુખ્ય વક્તા તરીકે ડૉ. રામજીભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં હસ્તપ્રતવિદ્યા અને લિપિ જ્ઞાનના મહત્વ વિશે સમજાવ્યું હતું.કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ પ્રજાપતિએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યશાળાના સંયોજિકા ડૉ. મંજુલા વીરડિયાએ લિપિ વિદ્યાના વર્તમાન મહત્વ અને જ્ઞાન ભારત પરિયોજના વિશે વાત કરી હતી. કાર્યશાળામાં જોડાયેલા મુકેશભાઈ ઓઝા, શરદભાઈ દરજી, મીનાક્ષીબેન ઠાકર, લિયોના અને મીનાબેન સહિતના પ્રતિભાગીઓએ પોતાના સાત દિવસના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.સત્રના અધ્યક્ષ અને પી.કે. પટેલ વિદ્યા સંકુલના ડાયરેક્ટર ડૉ. રમેશભાઈ ચૌધરીએ કાર્યશાળાની સફળતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કેળવણી મંડળ ભવિષ્યમાં પણ આવા ઉત્તમ કાર્યો માટે પ્લેટફોર્મ પૂરું પાડશે અને સૌને આવા કાર્યોમાં જોડાવા આહ્વાન કર્યું હતું. મહેમાનોના હસ્તે પ્રતિભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગોવિંદભાઈ ચૌધરીએ સત્રનું સુચારુ સંચાલન કર્યું હતું. આ કાર્યશાળામાં કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને દેશના વિવિધ રાજ્યોમાંથી ઓનલાઈન તથા ઓફલાઈન કુલ ૧૫૦ પ્રતિભાગીઓ જોડાયા હતા, જેમણે કાર્યશાળાને સફળ બનાવી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યશાળાનું સમાપન કરવામાં આવ્યું.
ગઢડા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. આ સભામાં વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. આ બજેટ આશરે ₹58 કરોડથી વધુનું છે. નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ ખાચરના અધ્યક્ષસ્થાને રજૂ કરાયેલા આ બજેટમાં કુલ ₹58 કરોડ 70 લાખ 84 હજાર 101નો સમાવેશ થાય છે. આ રકમમાં ₹17 કરોડ 30 લાખ 49 હજાર 101નો પુરાનવાળો સમાવેશ થાય છે. સભામાં બજેટ પર વિસ્તૃત ચર્ચા બાદ તમામ સભ્યો દ્વારા તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શહેરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં સીસીટીવી પ્રોજેક્ટ, આગવી ઓળખ યોજના હેઠળ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, નવો બગીચો, અને પ્રમુખ સ્વામી માર્ગનું બ્યુટિફિકેશન મુખ્ય છે. નગરપાલિકાનો વર્ગ 'ક' માંથી 'બ' માં અપગ્રેડ થવાને કારણે મળતી વધારાની ₹2 કરોડની ગ્રાન્ટ 2025-26થી મળવાની શરૂ થઈ ગઈ છે, તેનો પણ ઉલ્લેખ કરાયો હતો. વધુમાં, ગઢડા નગરપાલિકાનો STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) કાર્યરત થઈ ગયો છે અને તેનું પાણી ખેડૂતોને વિનામૂલ્યે પૂરું પાડવા માટેનો પ્રોજેક્ટ પણ બજેટમાં લેવામાં આવ્યો છે. ચીફ ઓફિસર ડી. જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ બજેટ વિકાસકાર્યો, આધુનિક સુવિધાઓ અને નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા રાજ્યકક્ષાના બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેસ્ટમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના 1254 ઉભરતા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેઓ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) યોજના હેઠળ પસંદગી પામવા માટે પોતાની પ્રતિભા દર્શાવશે. આ મહત્વપૂર્ણ ટેસ્ટિંગ પ્રક્રિયા 17 થી 20 માર્ચ દરમિયાન જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્રના સહયોગથી હાથ ધરવામાં આવી છે. નવસારી, સુરત, ભરૂચ, તાપી, વડોદરા, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના પસંદગી પામેલા ખેલાડીઓ આમાં સામેલ છે. રાજ્ય સરકાર દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ ચાલતી DLSS યોજનાનો હેતુ ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય ધરાવતા ખેલાડીઓને પ્રવેશ આપવાનો છે. આ યોજના અંતર્ગત વર્ષ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. ખેલાડીઓની શારીરિક ક્ષમતાના માપદંડો ચકાસવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાત અલગ-અલગ ટેસ્ટિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. આ ટેસ્ટમાં 30 મીટર ફ્લાઈંગ સ્ટાર્ટ (ઝડપ), સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ (પગની શક્તિ), મેડિસિન બોલ થ્રો (ઉપરના શરીરની શક્તિ), વર્ટિકલ જમ્પ (સ્ફોટક શક્તિ), શટલ રન (ચપળતા), સીટ એન્ડ રીચ (લવચીકતા) અને 800 મીટર દોડ (સહનશક્તિ)નો સમાવેશ થાય છે. આ બેટરી ટેસ્ટ દ્વારા પસંદ થયેલા તેજસ્વી ખેલાડીઓને રાજ્યની નામાંકિત સ્પોર્ટ્સ સ્કૂલોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સાથે પ્રોફેશનલ રમત પ્રશિક્ષણ અને હોસ્ટેલની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. વડોદરાના જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસે આ રાજ્યકક્ષાના બેટરી ટેસ્ટ અંગે વધુ માહિતી આપી હતી.
વ્યારામાં 'ધ કેરળ સ્ટોરી 2' નો નિઃશુલ્ક શો યોજાયો:600થી વધુ હિન્દુ મહિલાઓએ ફિલ્મ નિહાળી
વ્યારા નગરમાં હિન્દુ સમાજ દ્વારા સામાજિક જાગૃતિના ઉદ્દેશ્ય સાથે એક પહેલ કરવામાં આવી હતી. આ અંતર્ગત, વ્યારાની આશરે 600થી વધુ હિન્દુ બહેનો અને વિદ્યાર્થીનીઓ માટે 'ધ કેરળ સ્ટોરી 2' ફિલ્મનો ખાસ નિઃશુલ્ક શો યોજાયો હતો. વ્યારાના રાજહંસ સિનેમા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વહેલી સવારથી જ બહેનો અને દીકરીઓની ભારે ભીડ જોવા મળી હતી. 600થી વધુની સંખ્યામાં ઉપસ્થિત રહી બહેનોએ આ ફિલ્મ નિહાળી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી. તે વર્તમાન સમયમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક પડકારો સામે સજાગ કરતો એક અરીસો છે. ફિલ્મ નિહાળ્યા બાદ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓએ આવા વિષયો પર બનેલી ફિલ્મો સમાજમાં જાગૃતિ લાવવા માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. હિન્દુ સમાજ દ્વારા આયોજિત આ નિઃશુલ્ક શો સફળ રહ્યો હતો અને બહેનોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મૂવી બતાવવાનો મુખ્ય હેતુ સામાજિક જાગૃતિ અને સુરક્ષા પ્રત્યે સભાનતા વધારવાનો હતો.
વલસાડ જિલ્લાના વાપી GIDC ચાર રસ્તા પાસેથી પોલીસે રૂ. 3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક ટેમ્પોને આંતરી આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,32,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાપી GIDC પોલીસ મથકના PI અમીરાજસિંહ રાણાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ ગઈકાલે મોડી રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વાપી GIDC ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ જણાતા મારુતિ સુઝુકી સુપર કેરી ટેમ્પો (નંબર DD-03-P-9689) ને અટકાવવામાં આવ્યો હતો. ટેમ્પોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1152 નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,62,400 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક અમજદ જોબન ખાન (ઉ.વ. 26, રહે. વાપી, મૂળ ગાજીપુર, યુ.પી.) અને ક્લીનર કિશકુમાર તરૂણભાઈ દમણીયા (ઉ.વ. 22, રહે. નાની દમણ)ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો અક્ષય નામના શખ્સે ભરાવી આપ્યો હોવાનું બહાર આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂ. 3,62,400નો વિદેશી દારૂ, રૂ. 3,50,000નો સુપર કેરી ટેમ્પો અને રૂ. 20,000ના મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, જેનો કુલ મુદ્દામાલ રૂ. 7,32,400 થાય છે.
નવરંગપુરા ખાતે આવેલા હુડકો ભવનમાં ઇમિગ્રેશન ઓફિસર સામે પોર્ટુગીઝની નાગરિકતા મેળવવા માટે ખોટા નામ અને ખોટી જન્મ તારીખવાળો ભારતીય પાસપોર્ટ રજૂ કરનાર યુવતી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ યુવતીએ અન્ય બે શખ્સ સાથે મળીને નાગરિકતા મેળવવા માટે ખોટો પાસપોર્ટ ઇસ્યુ કરાવ્યો હતો.આ અંગે ઇમિગ્રેશન અધિકારીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. કેન્સલ કરાવેલો પાસપોર્ટ અપલોડ કર્યો ને શંકા પડીનવરંગપુરા ખાતે આવેલા હુડકો ભવનમાં ઈમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા ઈશિતા ઠક્કરે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પોર્ટલ પર એક અરજી આવી હતી. જેમાં અરજદાર નિશા જગન (રહે વલસાડ)એ ભારતીય વિઝા મેળવવા માટે અરજી આપી હતી. ત્યાર બાદ અરજદારે પોતાના કેન્સલ કરાવેલા ભારતીય પાસપોર્ટની નકલ અપલોડ કરી હતી. નિશા હુડકો ભવનમાં બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 17 માર્ચના રોજ ગયા હતા. નિશા જગનને તેઓએ કેન્સલ કરાવેલા ભારતીય પાસપોર્ટ સિવાયના બીજા ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ખોટી જન્મ તારીખનો પાસપોર્ટ ઇસ્યૂ કરાવ્યો હતોઇમિગ્રેશન ઓફિસર ઇશિતા ઠક્કરે તેમના સિનિયર અધિકારી સાથેની વાતચીત કરીને વધુ પૂછપરછ કરતા નિશા જગને જણાવ્યું હતું કે તેનું સાચું નામ નિશા પટેલ છે અને તે મૂળ વલસાડના રહેવાસી છે. ડોક્યુમેન્ટ ચેક કરતા નિશા પાસેથી પાનકાર્ડની નકલ પણ મળી આવી હતી.નિશા જગને પોર્ટુગીઝની નાગરિકતા મેળવવા માટે દમણ ખાતે રહેતા હેમંત જગન અને મોહસીનનો સંપર્ક કરી સાચું નામ અને જન્મ તારીખ ખોટી દર્શાવી ભારતીય પાસપોર્ટ ઇસ્યુ કરાવ્યો હતો.જેથી નિશા,હેમંત જગન અને મોહસીન સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓલપાડ તરફથી સુરત આવી રહેલી એક i20 કાર અનિયંત્રિત થઈને સીધી કેનાલમાં ખાબકી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. કાર કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકીમળતી માહિતી મુજબ, ઓલપાડ તરફથી સુરત જઈ રહેલી i20 કાર (નંબર: GJ 05 RN 0025) જહાંગીરપુરા કેનાલ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. મોડી રાતનો સમય હોવાથી રોડ પર ટ્રાફિક ઓછો હતો, પરંતુ કાર ખાબકવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરીઘટનાની જાણ થતા જ જહાંગીરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સદનસીબે, કાર ચાલક સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ત્યારબાદ, ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. કાર કઈ રીતે કેનાલ ખાબકી તેનું કારણ અકબંધકાર કેનાલમાં કઈ રીતે ખાબકી તે અંગેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે અકસ્માત પાછળ અંધારું કારણભૂત હતું, કારની સ્પીડ વધુ હતી કે પછી કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાત્રિના સમયે કેનાલ રોડ પર વાહન ચલાવતા સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.
નવસારીમાં વૃદ્ધ ગેલેરીમાંથી પટકાયા:સંતુલન ગુમાવતા ગંભીર ઈજા, બે દિવસ બાદ સારવાર દરમિયાન નિધન
નવસારી શહેરના બંધારવાડ વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. 71 વર્ષીય ભરતકુમાર રાજપુત 15 માર્ચની સાંજે પોતાના ઘરની પ્રથમ માળની ગેલેરીમાંથી નીચે પટકાયા હતા. મોઢું સાફ કરતી વખતે સંતુલન ગુમાવતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને બે દિવસની સારવાર બાદ તેમનું નિધન થયું હતું. નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, 'જય જલારામ નિવાસ'માં રહેતા ભરતકુમાર રાજપુતને મસાલો ખાવાની ટેવ હતી. તેઓ રાત્રિ ભોજન લેતા પહેલા મોઢું સાફ કરવા માટે ગેલેરીમાં ગયા હતા.આ દરમિયાન, મોઢું સાફ કરતી વખતે અચાનક તેમનું શારીરિક સંતુલન બગડ્યું હતું. જેના કારણે તેઓ સીધા નીચે જમીન પર પટકાયા હતા. તેમને માથાના ભાગે, ચહેરા પર, છાતીમાં તેમજ જમણા હાથ અને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ મહોલ્લાના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પેરામેડિકલ સ્ટાફે તેમને પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે નવસારીની લાયન્સ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ, 17 માર્ચના રોજ વહેલી સવારે 3:00 વાગ્યે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના પત્ની વૈશાલીબેન રાજપુત દ્વારા નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. ગોલવાડ ચોકીના પીએસઆઈ આર.એન. વાડલેએ આ મામલે અકસ્માત મોત નં. 10/2026 (BNSS-2023 કલમ 194 મુજબ) ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આગામી 21મી તારીખના પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે સાવરકુંડલાના અટલધારા કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પરિવારની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીઠાભાઈ નકુમ, APMC ચેરમેન દીપકભાઈ માલાણી, તાલુકા પંચાયત પ્રમુખ જીવનભાઈ વેકરિયા, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના સંગઠનના પ્રમુખો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કાર્યકર્તાઓને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને, જગદીશ વિશ્વકર્માનો અમરેલીમાં આ પ્રથમ આગમન હોવાથી તેમના સ્વાગત માટે આહ્વાન કરાયું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા જણાવાયું હતું. તમામ હોદ્દેદારોને ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળવા સૂચના અપાઈ હતી.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 61 વર્ષીય વૃદ્ધે એક સગીર બાળક સાથે જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ વ્યારા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. ગત 10 માર્ચ, 2026 ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યે, સગીર બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં જ દુકાન ધરાવતા 61 વર્ષીય જાવેદ ગુલાબ શેખ નામના શખ્સે બાળકને 5 રૂપિયાની લાલચ આપી પોતાની દુકાનમાં બોલાવ્યો હતો. જ્યારે બાળક દુકાનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે આરોપીએ તેનો હાથ પકડી બળજબરીથી પોતાના ખોળામાં બેસાડી દીધો હતો. તેણે બાળકની કમરના ભાગે અડપલાં કરી તેના ગુપ્ત ભાગે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકને ચૂપ રાખવા અને લાલચ આપવા માટે આરોપીએ તેને પાંચ રૂપિયા પણ આપ્યા હતા. આ શરમજનક ઘટનાની જાણ પરિવારને થતા તાત્કાલિક વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે બનાવની ગંભીરતા સમજી તુરંત ગુનો નોંધી આરોપી જાવેદ ગુલાબ શેખની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. હાલ આ ગુનાની તપાસ PI એસ.પી. સોઢા કરી રહ્યા છે અને પોલીસ આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરી રહી છે.
સાયબર ગઠિયાઓ રોજ અલગ અલગ રીતે નાગરિકોને ઠગી લાખો રૂપિયા પડાવે છે ત્યારે અમદાવાદના એક 70 વર્ષના વકીલ સાથે ફેસબુક પર મિત્રતા કેળવી વકીલને લગ્ન કરવાનું કહીને USDTમાં રોકાણ કરાવ્યું હતું. વકીલે 20 દિવસમાં 60 લાખનું રોકાણ કર્યું હતું જેની સામે વકીલને 2.10 લાખ પરત આપ્યા. જ્યારે બાકીના 57.90 લાખ પરત ન આપીને ઠગાઈ કરતા વકીલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફેસબુક પર લક્ષ્મીદેવી રેડી નામની યુવતી સાથે સંપર્ક થયોશીલજમાં રહેતા 70 વર્ષીય વકીલ ઘરેથી લીગલ કન્સલ્ટિંગનું કામ કરે છે. નવેમ્બર 2025માં વકીલે ફેસબુક પર લક્ષ્મીદેવી રેડી નામના અજાણી યુવતી સાથે તેમનો સંપર્ક થયો હતો. આ યુવતીએ વકીલને કહ્યું હતું કે, તે IIM અમદાવાદમાંથી અભ્યાસ કરી ચૂકી છે અને અત્યારે હૈદરાબાદમાં રહે છે. યુવતી ખૂબ ધનિક અને સમૃદ્ધ પરિવારની હોવાની વાતો વકીલને કરી હતી. વકીલ સાથે નંબરની આપ લે કરીને રોજ વ્હોટ્સએપ પર મેસેજ અને વીડિયો કોલથી પણ યુવતી વાતચીત કરતી હતી. યુવતીએ વકીલને લગ્ન કરવાનું અને જીવનભર ઈટાલીમાં સ્થાયી થવાનું જણાવ્યું હતું. જેથી વકીલને યુવતી ઉપર વિશ્વાસ આવી ગયો હતો. મહિલાની વાતોમાં આવી એપ્લિકેશનમાં રોકાણ કરવાનું શરૂ કર્યુંયુવતીએ વકીલને કહ્યું હતું કે, તેના કાકા યુએસની એક મોટી કંપનીમાંથી રીટાયર્ડ થયા છે અને ક્રિપ્ટો કરન્સી પર તેમની કંપનીના 70 નિષ્ણાંતોની ટીમ કામ કરી રહી છે. જેથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરો જેનાથી મોટી કમાણી થશે. વકીલે યુવતીની વાતોમાં આવીને યુવતીએ મોકલેલી લીંક ખોલી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તમામ વિગતો પણ ભરી હતી. જે પ્રમાણેની સૂચના મળતી તે પ્રમાણે વકીલ રોકાણ કરતા હતા. શરૂઆતમાં 50,000નું રોકાણ કર્યું જેમાં 5,000નો નફો થયો હતો. શરૂઆતના પાંચ દિવસ વકીલને સારો એવો નફો બતાવતા હતા. જેમાંથી વકીલે 2.10 લાખ રૂપિયા ઉપાડ્યા પણ હતા. નફો અને મૂડીના પૈસા ન ઉપડતા છેતરપિંડીની જાણ થઈ8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી વકીલે 16 ટ્રાન્જેક્શન દ્વારા કુલ 60 લાખનું રોકાણ કર્યું હતું જેની સામે 2.10 લાખ રૂપિયા ઉપાડ્યા હતા, જ્યારે બાકીના 57.90 લાખ રૂપિયા ઉપાડ્યા નહોતા. વકીલે જ્યારે નફો અને મૂડી ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ટેક્સ ભરવાનું જણાવ્યું હતું. આ અંગે વકીલને શંકા થતા તપાસ કરતાં તેમની સાથે છેતરપિંડી થઈ હતી, જેથી વકીલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગરના ઐતિહાસિક હવામહેલ ખાતે 21 અને 22 માર્ચના રોજ બે દિવસીય 'મિલેટ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની પૂર્વતૈયારીઓ અને સુચારુ સંચાલન માટે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ મહોત્સવ માત્ર પ્રદર્શન ન રહેતા, સામાન્ય નાગરિકોના દૈનિક આહારમાં પૌષ્ટિક ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બનવું જોઈએ. મહોત્સવનો મુખ્ય હેતુ 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ'ની સાતત્યતા જાળવી ખેડૂતોને જાડા ધાન અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીને વેગ આપી મિલેટ્સના મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવાયું હતું. મહોત્સવમાં અંદાજે 25,000 થી 30,000 મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને કમિશનરે હવામહેલ ખાતે જરૂરી માળખાકીય સુવિધાઓ, સુરક્ષા અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મેળામાં બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા વિવિધ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સ હશે. સ્થાનિક ખેડૂતો અને મહિલા સંચાલિત સ્વસહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરાયેલી મિલેટ્સ આધારિત પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક કૃષિ, મિલેટ આધારિત 'રેડી ટુ ઈટ' વાનગીઓ, લાઈવ ફૂડ આઈટમ્સ અને હસ્તકલા સહિતના 20 જેટલા વિશેષ સ્ટોલ્સ ઊભા કરાશે. સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે, જે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરશે. આ મહોત્સવ દ્વારા ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો સામે મિલેટ્સની ઉપયોગિતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની મિલેટ ડેવલોપમેન્ટ યોજના 2025-26 અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં આવા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.ડી. શિરોયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ. એ. સિણોજીયા સહિત સમિતિના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત 800 થી વધુ વડીલો માટે હરિદ્વાર ગંગા તીર્થયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા 21 થી 27 માર્ચ દરમિયાન યોજાશે, જેમાં વડીલો શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરશે. યાત્રા પૂર્વે પાટણમાં યજમાન પરિવારો દ્વારા સામૂહિક પોથી પૂજન અને ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી. મુખ્ય યજમાન મહેન્દ્રભાઈ જયંતીલાલ પટેલના નિવાસસ્થાને 125 જેટલા યજમાન પરિવારો દ્વારા સામૂહિક પોથી પૂજન કરવામાં આવ્યું હતું. કથાના વક્તા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં આ પૂજન સંપન્ન થયું હતું, ત્યારબાદ શાસ્ત્રીજીએ આશીર્વચન આપ્યા હતા. પોથી પૂજન બાદ પાટણમાં ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. આ યાત્રા બત્તીવાડોથી પ્રસ્થાન થઈ નાગરલીમડીચોક, જબરેશ્વરીચોક, સાલવીવાડા ચોક, ખેતરવસી, ઝીણીપોળ, લીમડી ચોક, લોટેશ્વર, દોશીવટ બજાર અને ધીવટો જેવા સમાજના વિવિધ વિસ્તારોમાં ફરીને નિજ સ્થાને પરત ફરી હતી. યાત્રાળુઓ 19 અને 20 માર્ચે અલગ અલગ જથ્થામાં પાટણ અને ઊંઝા સ્ટેશનેથી રેલવે દ્વારા હરિદ્વાર જવા પ્રયાણ કરશે. ઊંઝાથી યોગા એક્સપ્રેસ અને ગાંધીનગર-દૌલતપુર ચોક એક્સપ્રેસ, જ્યારે પાટણથી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસમાં બુકિંગ કરાયું છે. વડીલોને મુસાફરીમાં અગવડ ન પડે તે માટે નાસ્તા અને ફૂડ પેકેટ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દરેક યાત્રીને ધાર્મિક ખેસ અને વિશેષ ઓળખ કાર્ડ પણ અપાયા છે, જેમાં તેમની ટ્રેન વિગતો દર્શાવેલી છે. આ સમગ્ર ગંગા તીર્થયાત્રા નિશુલ્ક કરાવવા માટે મુખ્ય યજમાન, ભાગવત ઉત્સવના મનોરથીઓ ઉપરાંત 40 થી વધુ ભોજનપ્રસાદ યજમાનોની સેવા લેવામાં આવી છે. છેલ્લા બે માસથી કાર્યકરો આ યાત્રાને સફળ બનાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. 21 ફેબ્રુઆરીથી હરિદ્વારમાં પ્રેમનગર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે, જેમાં વક્તા શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી શ્રીમદ ભાગવતનું રસપાન કરાવશે. આ દરમિયાન ગોવર્ધન પૂજા, નંદ ઉત્સવ તથા રૂકમણી વિવાહ જેવા ભાગવત ઉત્સવો પણ યોજાશે. સમગ્ર યાત્રા દરમિયાન તમામ યાત્રીઓનો ઉતારો પવિત્ર ગંગા ઘાટે પ્રેમનગર આશ્રમમાં જ રહેશે. આ દરમિયાન યાત્રીઓને ઋષિકેશ દર્શને પણ લઈ જવાશે. 27 મી માર્ચે ભાગવત કથાની પૂર્ણાહુતિ બાદ યાત્રીઓ ટ્રેન વ્યવસ્થા મુજબ પરત ફરશે.
વાપીમાં બાકી વેરા વસૂલાત તેજ:15 દિવસમાં ₹2.26 કરોડની આવક, 44 મિલકતો સીલ કરાઈ
વાપી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત નોટિસ આપવા અને મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે મિલકતધારકોમાં વેરો ભરવા અંગે જાગૃતિ જોવા મળી રહી છે. માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસમાં 3512 મિલકતધારકોએ પોતાનો બાકી વેરો ભરી દીધો છે, જેનાથી મહાનગરપાલિકાને ₹2.26 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, આગામી 1 એપ્રિલથી બાકી વેરાની તમામ રકમ પર 12% વ્યાજ લાગુ પડશે. અત્યાર સુધીમાં, 2025-26 ના કુલ 41 કરોડની વસૂલાત થઈ ચૂકી છે. ઘરવેરા વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સર્વે કરીને વર્ષોથી વેરો ન ભરતા બાકીદારોની રહેણાંક મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરી છે. ડુંગરામાં શાંતિ એન્કલેવના 18 ફ્લેટ, સાઈકૃપા એપાર્ટમેન્ટના 8 ફ્લેટ, સાગર સંગીતાના 12 ફ્લેટ, વાપીમાં એકતા રોયલના 2 ફ્લેટ અને ચલામાં હિન્દુસ્તાન લીવર સોસાયટીના 4 બંગલા સહિત કુલ 44 રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, છાંગુર ચૌહાણની ચાલીની 13 રૂમ, મંજુલાબેનની 5 રૂમ અને આદીતનાથ યાદવની 7 રૂમ સહિત કુલ 52 રૂમોને તાળા મારીને ₹3.20લાખની વસૂલાત કરવામાં આવી હતી. હાલમાં બાકી રહેલા કરદાતાઓ સામે કાર્યવાહી ચાલુ છે. જે કરદાતાઓ છેલ્લી નોટિસ મળ્યા બાદ પણ વેરો ભરશે નહીં, તેમની મિલકતોની જપ્તી બાદ હવે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ટીમ દરેક વિસ્તારમાં સક્રિય છે અને બાકીદારો સામેની આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ તેજ બનશે.મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, મિલકતધારકોએ વ્યાજ, દંડ અને સીલીંગ જેવી કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાનો બાકી વેરો ભરી દેવો જોઈએ.
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે. ખાસ કરીને 18 અને 19 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. જોકે, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી બફારા અને ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. 19 અને 20 માર્ચે આ જિલ્લામાં કમોસમી વરસાદ પડશેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી 3 દિવસ એટલે કે 18થી 20 માર્ચના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જામનગર પંચકોષી 'એ' ડિવિઝન પોલીસે ધુતારપર ગામની સીમમાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઇકો કારમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચકોષી 'એ' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઇ. નિર્મળસિંહ બી. જાડેજા, એ.એસ.આઇ. કાસમભાઇ એમ. બ્લોચ અને પો.કોન્સ. હરદેવસિંહ એમ. ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે, નાગાજળ ગામથી ધુડશીયા તરફ આવતા રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે GJ 10 DR 7587 નંબરની ઇકો કારને અટકાવી તલાશી લેતા, તેમાંથી પાસ-પરમિટ વગરનો રૂ. ૪૦,૦૦૦/- ની કિંમતનો ૨૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. દારૂની હેરાફેરીમાં વપરાયેલી રૂ. ૨ લાખની ઇકો કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે: ધુતારપર ગામના સરકારી હોસ્પિટલ સામે રહેતા બાબર ચકુભાઇ વાઘેલા (ઉ.વ. 26) અને ધુડશીયા ગામના સરદાર પટેલ હાઇસ્કુલની બાજુમાં રહેતા દેવજીભાઈ જેરામભાઈ વાઘેલા (ઉ.વ. 30). આ કામગીરીમાં પી.આઈ. એમ.એન. શેખ, પી.એસ.આઈ. એ.આર. પરમાર, એ.એસ.આઈ. નિર્મળસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, હેડ કોન્સ. ચેતનભાઇ ઘાઘરેટીયા, પો.કોન્સ. હરદેવસિંહ ઝાલા અને કમલેશભાઇ ખીમાણીયા સહિતની ટીમ જોડાઈ હતી. પો.કોન્સ. હરદેવસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ. એન.બી. જાડેજાએ પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
રોટરી ક્લબ ઓફ વેરાવળની 2025-26ની ઓફિશિયલ ક્લબ વિઝિટ માટે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ વેરાવળ પધાર્યા હતા. તેમણે ક્લબના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સાથે બેઠક કરી હતી, ત્યારબાદ બોર્ડ મીટિંગ અને રાત્રે જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન, વાર્ષિક સેવાકીય કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, આગામી વર્ષમાં વધુ સેવાકીય અને જાહેર હિતના પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે રોટરી ક્લબ ઓફ વેરાવળને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીથી આસિસ્ટન્ટ ગવર્નર પ્રતિકભાઈ સંઘરાજકા, રોટરી ક્લબ ઓફ વેરાવળના પ્રેસિડેન્ટ ડો. ઈશ્વર ગોડસે, સેક્રેટરી રાજેશભાઈ જયસ્વાલ, પાસ્ટ પ્રેસિડેન્ટ મનસુખભાઈ સુયાણી, ગિરીશ ઠક્કર સહિતના મુખ્ય હોદ્દેદારો, સભ્યો અને ઇનરવ્હીલ ક્લબના આમંત્રિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્પેશિયલ વિઝિટ મીટિંગની શરૂઆત ભાવિન નથવાણીએ કોલ આપીને કરાવી હતી. સ્વાગત પ્રવચન ડો. ઈશ્વર ગોડસેએ આપ્યું હતું, જ્યારે સેક્રેટરી રાજેશ જયસ્વાલે પ્રોજેક્ટ્સ અંગે માહિતી રજૂ કરી હતી. ગવર્નરના પરિચય અંગે PPT દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે, તાજેતરમાં આગરા ખાતે યોજાયેલા રોટરી ક્લબ ઇન્ટરનેશનલના સેમિનારમાં વેરાવળને પ્રાપ્ત થયેલો એવોર્ડ પાસ્ટ પ્રેસિડેન્ટ મનસુખભાઈ સુયાણીને એનાયત કરવામાં આવ્યો હતો. ક્લબ મેમ્બર જશ્મા ગિરીશ ઠક્કરને અમરેલી રોટરી ક્લબ અને ગારગા સંસ્થા દ્વારા ઇન્ટરનેશનલ વર્લ્ડ રામાયણ ચેમ્પિયનશિપમાં મળેલા એવોર્ડ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. મીટિંગના અંતે રાષ્ટ્રગાન બાદ સૌ રોટેરિયન પરિવારે સાથે ભોજન લીધું હતું. આ ઓફિશિયલ વિઝિટના કાર્યક્રમને સફળ બનાવવા માટે જશ્મા ઠક્કર અને અનિસ રાચ્છ દ્વારા મીટિંગનું સંચાલન કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભા બાદ સવારે અમદાવાદની શાળાઓને ધમકીભર્યો મેઈલ મળ્યો છે. શહેરના મેમનગરની મહારાજા અગ્રેસન, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલને ધમકી આપવામાં આવી છે. આધમકીના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે સ્કૂલને ધમકી મળી છે. 12 આર્ટ્સમાં ઇતિહાસનું અને ધો.10માં સામાજિક વિજ્ઞાનનું પેપર છે. કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ-વેજલપુર સહિતની સ્કૂલોને ધમકી આપવામાં આવી છે. જેને પગલે શાળાઓએ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીની જાણ કરી છે. સાયબર અપરાધીઓ આવા ઈમેઈલ કેવી રીતે મોકલે છે?સાયબર અપરાધીઓ આવા ધમકીભર્યા ઈમેઈલ મોકલવા માટે અનેક તરકીબો અપનાવે છે. તેઓ સામાન્ય રીતે ગુપ્ત ઈમેઈલ સેવાઓનો ઉપયોગ કરે છે, જેમ કે પ્રોટોનમેઈલ અથવા ટેમ્પરરી ઈમેઈલ સર્વિસ. આ સેવાઓમાં તેઓ ખોટા નામ અને વિગતો વાપરીને એકાઉન્ટ બનાવે છે, જેથી તેમની ઓળખ છુપાઈ રહે. તેઓ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અથવા ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરીને તેમના આઈપી એડ્રેસને છુપાવે છે. આઈપી એડ્રેસ એ ડિવાઇસ નું ઓનલાઇન સરનામું છે, જે સ્થાન અને ઓળખ વિશે જણાવે છે. સાયબર ગુનેગારો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો ઉપયોગ મુખ્યત્વે તેમની ઓળખ તેમજ આઈપી એડ્રેસ છુપાવવા, ઓનલાઇન પ્રવૃત્તિઓને અજ્ઞાત રાખવા અને કાયદાકીય સંસ્થાઓથી બચવા માટે કરે છે. કેટલાક અપરાધીઓ ઈમેઈલ સ્પૂફિંગનો ઉપયોગ કરે છે. મેઇલ મોકલનારને કેવી રીતે શોધી કાઢવામાં આવે છે?સાયબર અપરાધીઓને ટ્રેસ કરવા માટે પોલીસની સાયબર ક્રાઇમ યુનિટ કામ કરે છે. પહેલા, તેઓ ઈમેઈલના હેડર્સનું વિશ્લેષણ કરે છે. ઈમેઈલ હેડર્સમાં મોકલનારના આઈપી એડ્રેસ, તારીખ અને અન્ય વિગતો હોય છે. જો વીપીએન વપરાયું હોય તો પણ, વીપીએન પ્રોવાઇડર પાસેથી માહિતી મેળવી શકાય છે. પોલીસ ઈમેઈલ પ્રોવાઇડર (જેમ કે ગૂગલ અથવા પ્રોટોન)ને કાનૂની રીતે માહિતી માંગે છે. તેઓ એકાઉન્ટની વિગતો, લોગઇન આઈપી અને અન્ય ડેટા મેળવે છે. જો અપરાધી વિદેશમાં હોય તો, આંતરરાષ્ટ્રીય સહયોગ જેમ કે ઇન્ટરપોલની મદદ લેવામાં આવે છે. ડિજિટલ ફોરેન્સિક્સમાં કમ્પ્યુટર અને મોબાઇલનું વિશ્લેષણ કરીને પુરાવા શોધવામાં આવે છે. કેટલાક કેસમાં, અપરાધીઓની ભૂલો જેમ કે એક જ આઈપીનો વારંવાર ઉપયોગ, તેમને પકડાવી દે છે. મારા મતે આ ભૌતિક હુમલો નથી, પરંતુ માનસિક હુમલો છે, જે સાયબર વોરફેરનો એક ભાગ છે,તેની પાછળનો મુખ્ય હેતુ ડર ઉભો કરવો અને વ્યવસ્થા ખોરવવી અને તમામ વહીવટી તંત્રની એસ ઓ પી જાણવી. આ પણ વાંચો 16 ફેબ્રુએ. અમદાવાદ-વડોદરાની 40 સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી હતી16 ફેબ્રુઆરી, 2026ની સવારમાં ગુજરાતની 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં વડોદરા શહેર-જિલ્લાની 25 અને અમદાવાદની 15 સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો હતો. મેલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે- ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ સ્કૂલોમાં વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા હતા અને સૌના જીવ તાળવે ચોંટ્યા હતાં. ઉલ્લેખનીય છે કે બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઇ પણ વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 17 ફેબ્રુ.એ કોર્ટોને ઉડાવી દેવાની ધમકી આપી હતી17 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને વલસાડની કોર્ટને ધમકીભર્યા મેલ મળ્યા હતા. આ મેલમાં લખ્યું હતું કે, કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. વાંચો સંપૂર્ણ અહેવાલ 23 જાન્યુઆરીએ અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા હતા. ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) 17 ડિસે.એ શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી17 ડિસેમ્બર, 2025એ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તપાસના અંતે એક પણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નહોતી. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું હતું. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
વલસાડમાં ગરમીનો પારો 28 ડિગ્રીએ પહોંચ્યો:ગઈકાલ કરતાં તાપમાન ઘટ્યું, તાલુકાઓની સ્થિતિ જાણો
વલસાડ જિલ્લામાં ઉનાળાની શરૂઆત વચ્ચે તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. બુધવાર, 18 માર્ચ 2026ના રોજ વલસાડનું મહત્તમ તાપમાન 28C નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 23C રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે આકાશ સ્વચ્છ અને સૂર્યપ્રકાશવાળું રહેશે. ગઈકાલની સરખામણીએ આજે વલસાડના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઈકાલે મહત્તમ તાપમાન 30.8C હતું, જે આજે ઘટીને 28C થયું છે. આમ, તાપમાનમાં અંદાજે 2.8C નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે નાગરિકોને ગરમીથી થોડી રાહત મળી છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ તાપમાનની સ્થિતિ નીચે મુજબ છે: પારડીમાં મહત્તમ 29C અને લઘુત્તમ 23C, વાપીમાં મહત્તમ 30C અને લઘુત્તમ 24C નોંધાયું છે. ધરમપુરમાં મહત્તમ 31C અને લઘુત્તમ 22C, કપરાડામાં મહત્તમ 30C અને લઘુત્તમ 22C તાપમાન રહેવાની શક્યતા છે. ઉમરગામમાં મહત્તમ 29C અને લઘુત્તમ 24C તાપમાન જોવા મળશે. હવામાનની સ્થિતિની વાત કરીએ તો, વલસાડમાં સ્વચ્છ આકાશ રહેશે, જ્યારે પારડીમાં ગરમ અને સૂકું વાતાવરણ રહેશે. વાપીમાં સામાન્ય ગરમી અનુભવાશે, જ્યારે ધરમપુરના પહાડી વિસ્તારમાં મિશ્ર વાતાવરણ રહેશે. કપરાડામાં આંશિક વાદળછાયું વાતાવરણ અને ઉમરગામમાં દરિયાકાંઠાના ભેજવાળું હવામાન રહેશે. આજે દિવસ દરમિયાન પશ્ચિમ દિશામાંથી 11 mph ની ઝડપે પવન ફૂંકાશે. બપોરના સમયે હવામાં ભેજનું પ્રમાણ 63% જેટલું રહેશે. રાત્રિના સમયે આકાશ એકદમ સાફ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી.
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં રાતના સમયે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ પર છરી વડે હુમલો કરતા ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવકને પેટમાં છરી મારતા ગંભીર ઇજાના કારણે મોતસરખેજમાં આવેલા ઠાકોરવાસમાં ગત મોડી રાતે એક એક્ટિવા પર કેટલાક લોકો આવ્યા હતા, જેમણે ત્યાંના લોકો સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ એક જ પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરાયો હતો. આ હુમલામાં કુલ ચાર લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ગણેશ ઠાકોર નામના યુવકને પેટમાં છરી મારતા ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયાબનાવની જાણ થતા સરખેજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે સરખેજ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. આજે તને પતાવી દેવો છે કહી આરોપીઓએ ઘરમાં ઘૂસી છરી મારીઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસની અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ છરી સાથે આવ્યા હતા અને કહ્યું હતું કે, આશિષ ઠાકોર મહિના પહેલા મારમાંથી બચી ગયો છે. આજે તને છોડવાનો નથી તેમ કહીને જયેશ ઠાકોરના ઘરમાં પ્રવેશીને છરીના ઘા માર્યા હતા. નરેશ ઠાકોર છોડાવવા પડતા તેને પણ છરીના ઘા માર્યા હતા. આરોપી
રાજકોટ શહેરમાં ઉનાળાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પાણીની માગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વધતી જતી ગરમી અને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગત સપ્તાહે જ રાજકોટનાં બંને મુખ્ય જળાશયો આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરાયું હતું. આ કામગીરી હાલ પણ પુરજોશમાં ચાલું છે. આ બંને ડેમો છલકાઈ જાય ત્યાં સુધી સૌની યોજનાનાં નીર ઠાલવવામાં આવનાર હોય આગામી જૂન મહિનાનાં અંત સુધી લોકોને રોજ 20 મિનિટ નિયમિત પાણી મળી રહેશે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરની પ્રજાને ખાતરી આપતા જણાવ્યું છે કે, ઉનાળામાં લોકોને પાણી અંગેની કોઈ મુશ્કેલી ન પડે તેના માટે અગાઉ જ મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે 'સૌની યોજના' હેઠળ નર્મદાના નીરની માગણી કરવામાં આવી હતી, જેને પગલે અત્યારે આજી અને ન્યારી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ બંને ડેમો 80 ટકાથી વધારે ભરાઈ ચુક્યા છે. અને જ્યાં સુધી બંને ડેમો છલકાઈ ન જાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. ત્યારે ઉનાળામાં રંગીલા રાજકોટીયનોને પાણીની કોઈ પ્રકારની તકલીફ પડવા દેવામાં આવશે નહીં. વર્તમાન પરિસ્થિતિ મુજબ, રાજકોટની વસ્તી તેમજ સતત વિસ્તરતા જતા વિસ્તારોને કારણે દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને માર્ચ મહિનાથી જૂન મહિના સુધીના સમયગાળામાં પાણીની માંગ વધતી હોય છે. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક જળાશયોમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. જેને લઈને ગત સપ્તાહથી બંને મુખ્ય જળાશયોમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાથી આગામી દિવસોમાં આ બંને ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, આજી-1 ડેમમાં 9 માર્ચથી નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. આજી ડેમમાં અત્યાર સુધીમાં 150 એમસીએફટી પાણીનો જથ્થો આવતા હાલ ડેમનું લેવલ 27.13 ફૂટ (800 એમસીએફટી) પર પહોંચી ગયું છે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટની છે અને તેમાં મહત્તમ 917 એમસીએફટી પાણીનો સંગ્રહ થઈ શકે છે. તંત્રના અંદાજ મુજબ, જે ગતિએ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તે જોતા આગામી 10 દિવસમાં આજીડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે. બીજી તરફ, ન્યારી-1 ડેમમાં 6 માર્ચથી નર્મદાના પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ન્યારી ડેમમાં કુલ 180 એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાઈ ચૂક્યો છે. હાલમાં ન્યારી ડેમની જળ સપાટી 21.25 ફૂટ સુધી પહોંચી છે, જે 834 એમસીએફટી જથ્થો સૂચવે છે. ન્યારી ડેમની કુલ ઊંડાઈ 25.09 ફૂટ છે અને તેની કુલ ક્ષમતા 1248 એમસીએફટી જેટલી છે. આમ ન્યારી ડેમ પણ ગણતરીના દિવસોમાં છલકાઇ જશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના સચોટ આયોજન અને 'સૌની યોજના'ના સહારે ભર ઉનાળામાં પણ રાજકોટના બંને મુખ્ય જળાશયો છલોછલ જોવા મળશે. આ કામગીરીથી શહેરના જળ સ્ત્રોતો મજબૂત બનશે અને ઉનાળાના આકરા દિવસોમાં પણ નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. જોકે અમુક વિસ્તારોમાં હાલ પણ ટેન્કરો દ્વારા પાણી વિતરણ થઈ રહ્યું હોવા અંગે કમિશનરે જણાવ્યું કે બંને ડેમમાં પુરતી માત્રામાં જળરાશી હોવાના કારણે સમયસર ટેન્કર દ્વારા પાણી વિતરણ થશે. તેમજ અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં હાલ નવી લાઈનો નાખવાનું કામ ચાલુ હોય ધીમે ધીમે ટેન્કર પ્રથા બંધ કરવામાં આવશે અને મોટા ભાગના વિસ્તારોમાં નળ મારફતે દરેક ઘરે પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ગૌમાંસની શંકાને પગલે ભારે ચકચાર મચી છે. ગાયકવાડી ચાલ વિસ્તારમાં હિન્દુ સંગઠનોએ એક ઘરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી શંકાસ્પદ માસ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી માસ જપ્ત કર્યું હતું અને બે મહિલાઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. માસના નમૂના FSL તપાસ માટે મોકલાયા છે. હિન્દુ સંગઠનોને બાતમી મળી હતી કે ગાયકવાડી ચાલમાં એક પરિવાર દ્વારા ગૌવંશનો વધ કરીને તેનું માસ વેચવામાં આવે છે. આ બાતમીના આધારે કાર્યકર્તાઓએ એકત્ર થઈને નિર્દિષ્ટ ઘરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ માસ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ બીલીમોરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ઘરમાંથી મળેલા શંકાસ્પદ માસને કબજે લીધું હતું. આ માસ ગૌવંશનું છે કે અન્ય કોઈ પ્રાણીનું, તે સ્પષ્ટ કરવા માટે તેને ફોરેન્સિક લેબોરેટરી (FSL) માં તપાસ માટે મોકલવામાં આવ્યું છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા શંકાસ્પદ પરિવારની બે મહિલાઓની અટકાયત કરી છે. પોલીસ સ્ટેશન ખાતે તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. FSL રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાને પગલે શહેરમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલોલ અપહરણ કેસનો આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે કાર્યવાહી કરી
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી સુનીલભાઈ ઉર્ફે લાલો રંગીતભાઈ પરમારને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સાથે ભોગ બનનારને પણ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા કે અપહરણ થયેલા બાળકો/વ્યક્તિઓને શોધવા માટે ૧૨ માર્ચ ૨૦૨૬ થી ૨૧ માર્ચ ૨૦૨૬ સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. દલપતસિંહ ચંદ્રસિંહને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી સુનીલભાઈ ઉર્ફે લાલો રંગીતભાઈ પરમાર મોજે-કોપરેજ ગામ ખાતે છુપાયેલો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને હસ્તગત કર્યો હતો. તેને વધુ તપાસ માટે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેઇલ મળતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા છે. હાલ વિધાનસભાને ખાલી કરાવાઈ રહી છે. હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન ધમકીભર્યો મેઇલ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે.
પીપલોદમાં વૃદ્ધને બાઇક ચાલકે ટક્કર મારી:માથામાં ગંભીર ઈજા, ગોધરા સિવિલમાં સારવાર હેઠળ
પીપલોદ પંથકમાં માર્ગ અકસ્માતની એક ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અસાયડી ગામે રહેતા ભેમાભાઈ પટેલ કરિયાણાનો સામાન લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેઓ જ્યારે પીપલોદના ઘાટી ફળિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પૂર ઝડપે આવતા એક બાઇક ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ભેમાભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પોરબંદરના રતનપર ચોકડી નજીક આવેલા નારાયણ નગર અને ભવાની રેસીડેન્સી વિસ્તારમાં રાતોરાત મોબાઈલ ટાવર ઊભું કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પૂર્વ મંજૂરી કે રહીશોની સંમતિ વિના રહેણાંક વિસ્તારની મધ્યમાં ટાવર નાખવામાં આવતા, મોટી સંખ્યામાં લોકો કમલાબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને તાત્કાલિક કામગીરી રોકવા વિનંતી કરી હતી. સ્થાનિક રહીશ વિક્રમ ઓડેદરાએ જણાવ્યું હતું કે, નારાયણ નગરના ચાર રસ્તા પાસે વોડાફોન અને એરટેલ કંપની દ્વારા મોબાઈલ ટાવર નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દિવસને બદલે મોડી રાત્રે કરવામાં આવે છે. કંપનીના કર્મચારીઓ સ્થાનિકોની સંમતિ લીધાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં કોઈ પણ રહીશની સહી કે સંમતિ લેવામાં આવી નથી. રહીશોનો મુખ્ય વિરોધ ટાવરના રેડિયેશનને લઈને છે. લોકોના મતે, રહેણાંક વિસ્તારમાં ટાવર હોવાથી નાના બાળકો અને સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી શકે છે. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે જે વ્યક્તિની જગ્યામાં ટાવર નંખાયો છે, તેઓ પોતે ત્યાં રહેતા નથી, જ્યારે સ્થાનિકોએ આ રેડિયેશનના જોખમ હેઠળ આખી જિંદગી રહેવું પડશે. આ મામલે સ્થાનિક મહિલા દિવ્યાબા સહિત અન્ય રહીશોએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, શરૂઆતમાં પાણીના ટાંકાનું કામ હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાતોરાત ટાવર ઊભું કરી દેવાયું છે. રહીશોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ટાવરની કામગીરી તાત્કાલિક બંધ કરાવવા અને તેને ત્યાંથી હટાવવા માંગ કરી છે.
અમદાવાદમાં માતાના નામને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દિરા બ્રિજ પાસે ભાટ ગામ નજીકની કોઠારી હોસ્પિટલ પાસે બે યુવતીઓએ આવીને બે દિવસના ફુલ જેવા નાના બાળકને તરછોડી છોડી દીધું હોવાની ઘટના બની છે. બાળકના રડવાનો અવાજ આવતાની સાથે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જે બાદ એરપોર્ટ પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. હાલમાં બાળકને હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. બાળકને છોડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બે યુવતીઓ મૂકીને જતી દેખાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બે દિવસનું નાનું બાળક જીવિત હાલતમાં તરછોડેલું મળ્યુંશહેરના ઇન્દિરા બ્રિજ નજીક ભાટ ગામ પાસે કોઠારી હોસ્પિટલ આવેલી છે, જ્યાં બહારના ભાગે ગઈકાલે 17 માર્ચના રોજ રાત્રે 9.10 વાગ્યે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે એક બે દિવસનું નાનું બાળક જીવિત હાલતમાં તરછોડેલું મળી આવ્યું છે. જેથી એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે નાનું બાળક જીવિત હાલતમાં હતું. માત્ર શરીર પર એક જ કપડું લપેટાયેલું હતું. એકના હાથમાં નાનું બાળક અને બીજીએ બેગ ભરાવી હતીઆસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા રાત્રે 8.41 વાગ્યાની આજુબાજુ બે યુવતીઓ સાંકડી ગલીના ભાગમાં આવતી જોવા મળી હતી. જેમાં એક યુવતીના હાથમાં નાનું બાળક હતું અને બીજી યુવતીએ બેગ ભરાવેલી હતી. બંને યુવતીઓ ગલીમાં આવી અને ઊભી રહી હતી. એક મિનિટ સુધી બંનેએ આસપાસમાં નજર કરી કે અહીંયા કોઈ જોતું નથીને. થોડીવાર ઉભા રહ્યાં હતા ત્યારે એક બે લોકો ગલીમાંથી નીકળ્યા હતા. જેથી તેઓ તેમના જવાની રાહ જોતા હતા. બંને યુવતીઓ માત્ર બે મિનિટમાં જ બાળકને તરછોડીને રવાના બંને જેવા થોડા દૂર ગયા તરત જ ત્યાં બાજુમાં પાણીપુરીની એક લારી પડી હતી. જે પાણીપુરીની લારીમાં બાળકને તરછોડી દીધું હતું. એ દરમિયાન એક ભાઈ બહાર નીકળ્યા હતા, પરંતુ બાળકને તરછોડવા માટેની ઉતાવળ હતી જેને લઈને તરત જ બંને યુવતીઓ પાણીપુરીની લારીમાં બાળકને મૂકીને ત્યાંથી નીકળી ગઈ હતી. બંને યુવતીઓ આવીને માત્ર બે મિનિટમાં જ બાળકને તરછોડીને ત્યાંથી રવાના થઈ ગઈ હતી. આ મામલે એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે બંને યુવતીઓની શોધખોળ શરૂ કરી છે.
12 વર્ષ જૂના લૂંટ-મારામારી કેસમાં ચુકાદો:સમીના જાખેલ પાસે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સજા, દંડ પણ
રાધનપુર સેશન કોર્ટે 12 વર્ષ જૂના મારામારી અને લૂંટના કેસમાં ચુકાદો આપ્યો છે. સમી તાલુકાના જાખેલ ગામ નજીક બનેલા આ બનાવમાં ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સજા અને પ્રત્યેકને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના વર્ષ 2013માં બની હતી. સમી તાલુકાના રામપુરા ગામના બાબુભાઈ નરસિંહભાઈ ચૌધરી જાખેલ ગામથી પોતાના મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. ત્યારે જાખેલથી રામપુરા જવાના રોડ પર વાછડા દાદાના મંદિર પાસે કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લાકડીઓ અને લોખંડની ટોમીઓ વડે બાબુભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હાથમાં ફ્રેક્ચર પણ થયું હતું. આરોપીઓએ બાબુભાઈ પાસેથી સોનાની ચેન, ₹5,000 રોકડા અને તેમનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. આ મામલે ગુનો નોંધાયા બાદ રાધનપુર સેશન કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જજ આર.આર. ચૌધરીએ પુરાવાઓના આધારે રબારી ભેમાભાઈ મેવાભાઈ, રબારી રઘુભાઈ પંચાભાઈ અને રબારી શિવાભાઈ અનિરુદ્ધ સવનાભાઈને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 326, 325 અને 504(2) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ સજા સંભળાવી હતી. દરેક દોષિત આરોપીને પાંચ વર્ષની કેદ અને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ભરવામાં ન આવે તો વધારાની ત્રણ મહિનાની સજા ભોગવવી પડશે. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. સરકારી વકીલ શંકરભાઈ ચૌધરીએ કેસમાં રજૂઆત કરી હતી, જ્યારે નિર્દોષ છૂટેલા આરોપીઓ વતી એડવોકેટ કે.સી. દેસાઈએ દલીલો કરી હતી.
અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયાએ સંસદમાં વિસ્તારના રેલવે વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે નવી ટ્રેનો, મીટર ગેજ લાઇનને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવા અને રેલવે કારખાનું સ્થાપવાની માંગ કરી હતી. પોતાના સંબોધનમાં, સાંસદ સુતરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે અમરેલી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કાર્ય અંતિમ તબક્કામાં છે અને આગામી બે મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. આ સંદર્ભમાં, તેમણે અમરેલીથી એક વંદે ભારત ટ્રેન અને હરિદ્વાર માટે સીધી ટ્રેન શરૂ કરવાની માંગ કરી હતી. આ ટ્રેનો અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈમાં વસતા લોકોને મુસાફરીમાં સરળતા પૂરી પાડશે. આ ઉપરાંત, તેમણે અમરેલીથી ધારી સુધીની મીટર ગેજ રેલવે લાઇનને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવાની પણ માંગ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે હાલમાં ફોરેસ્ટ વિસ્તારને કારણે આ લાઇનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાંસદ સુતરિયાએ રેલવે મંત્રી સમક્ષ અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેન બનાવવાનું સરકારી કારખાનું સ્થાપવાની વિનંતી પણ કરી હતી. તેમણે જણાવ્યું કે આનાથી વિસ્તારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે. આ પ્રસ્તાવોને કારણે અમરેલી જિલ્લામાં રેલવે સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાની અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
પાટણ પોલીસે મધરાતે કોમ્બિંગ કર્યું, 8 વાહનો ડિટેઈન.:તહેવારો પૂર્વે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી
આગામી રામનવમી અને રમઝાન માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પાટણ શહેર બી ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મધરાતે શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘા કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ હિલચાલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. તપાસમાં નિયમોનું ઉલ્લંઘન કરતા આશરે આઠ વાહનોને ડિટેઈન કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેર બી ડિવિઝન પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થામાં ભંગ કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. પ્રજાની સુરક્ષા અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ સતત ખડેપગે કામગીરી કરી રહી છે. પોલીસે નાગરિકોને તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.
જામનગરમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા બિલ્ડર નિલેશભાઈ દતાણીના 28 વર્ષીય પુત્ર ભવ્ય દતાણીનું મૃત્યુ થયું છે. શહેરના ત્રિમંદિર પાસે ચાલી રહેલી એક બિલ્ડિંગની સાઈટ પર સાતમા માળેથી પટકાવાને કારણે તેમનું નિધન થયું હતું. આ ઘટનાને પગલે શહેરમાં અને ખાસ કરીને લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભવ્ય દતાણી શહેરના ત્રિમંદિર નજીક આવેલી તેમની કન્સ્ટ્રક્શન સાઈટ પર ગયા હતા. તેઓ બિલ્ડિંગના સાતમા માળે કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સ્લેબ પરથી તેમનો પગ લપસી ગયો હતો, જેના કારણે તેઓ સાતમા માળેથી નીચે પટકાયા હતા. અકસ્માત બાદ ગંભીર હાલતમાં ભવ્યને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ ખાતે લોહાણા સમાજના અગ્રણીઓ, બિલ્ડર એસોસિએશનના સભ્યો અને મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માત્ર 28 વર્ષની નાની ઉંમરે ભવ્ય દતાણીના આકસ્મિક નિધનથી દતાણી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ચાલુ વિધાનસભા સત્રમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ગુજરાત સરકારની 5 વર્ષ ફિક્સ પગાર નીતિને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરાઈ છે, ત્યારે સરકાર પોતાની પક્ષે રાખેલા વકીલોને કેટલી ફી આપી રહી છે. વકીલોને પ્રતિ મુદતના 2 લાખ ફી ચૂકવાઈજેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, એપ્રિલ, 2012થી ગુજરાત સરકારની ફિક્સ પે નીતિને પડકારતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સરકાર પક્ષે અત્યાર સુધી કુલ 9 જેટલા વકીલો રોકવામાં આવ્યા છે. જેમાં એડવોકેટ મહેશ અગ્રવાલને 2 લાખ રૂપિયા જેટલી ફી, હરીશ સાલ્વેની ફી નિયત કરવામાં આવી નથી, મુકુલ રોહતગીને કોન્ફરન્સ અને અપીયરન્સ પેટે 2 લાખ રૂપિયા ફી, કે વિશ્વનાથનની ફિ નિયત કરવામાં નથી આવી, તુષાર મહેતાને દિવસના 2 લાખ રૂપિયા ફી ચુકવવામાં આવી હતી. મહેશ અગ્રવાલને ત્રણ લાખ રૂપિયા ફી ચૂકવવાની બાકીકે.કે વેણુગોપાલને કોન્ફરન્સ અને અપીયરન્સના 5 લાખ તેમજ તેના ક્લાર્કને 50 હજાર રૂપિયા ફી ચૂકવવામાં આવતી હતી. નીરજ કિશન કૌલની ફી નિયત કરવામાં આવી નહોતી, જ્યારે મનીષા શાહને દિવસના 2 લાખ રૂપિયા ફી ચુકવવામાં આવી હતી. ઉપરોક્ત વકીલો પૈકી મહેશ અગ્રવાલને ત્રણ લાખ રૂપિયા ફી ચૂકવવાની બાકી છે અને મનીષા શાહને 1.75 લાખ રૂપિયા ફી ચુકવવાની બાકી છે. જ્યારે તમામ વકીલોને ફી ચૂકવાઈ ગઈ છે. સરકાર કર્મચારીઓના વિરોધની અવગણી વકીલોને લાખોની ફી ચૂકવે છેઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ગ-3ની જગ્યા ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પસંદગી પામતા ઉમેદવારોને પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવે છે. જે 19,600 થી લઈને 40,600 હજાર જેટલો હોય છે. ફિક્સ પેના લાખો કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકાર તે વિરોધની અવગણીને વકીલોને દિવસની લાખો રૂપિયા ફી આપીને સુપ્રીમમાં કેસ લડી રહી છે. ઉપરોક્ત વકીલો પૈકી તુષાર મહેતા વર્તમાન સોલિસિટર જનરલ છે, કમલ ત્રીવેદી એડવોકેટ જનરલ છે, જ્યારે મનીષા શાહ એડિશનલ એડવોકેટ જનરલ છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે 25 વર્ષની પ્રાચી મૌર્યએ ડ્રામા આર્ટિસ્ટ તરીકે એપ્લોઝ સ્ટુડિયોમાં કામ શરૂ કર્યું હતું. પંદરેક દિવસ બાદ તે 17 લોકોના ગ્રુપ સાથે ખંભાતમાં સ્પીચલેસ નામનો શો કરવા ગઇ હતી. શો પૂરો કર્યા બાદ તે મોડી રાત્રે વડોદરા પાછી આવી હતી. અહીં તેને સ્ટુડિયોથી ઘર સુધી મુકવા માટે અંકિત નામનો એક યુવાન તેની સાથે ગયો હતો. જો કે પ્રાચી પોતાના ઘરે પહોંચી નહોતી. બીજા દિવસે સવારે નંદ સોસાયટી પાસે તેની લાશ મળી આવી હતી. લાશને જોતાં એટલું સ્પષ્ટ થઇ ગયું હતું કે પ્રાચીની હત્યા થઇ છે. હત્યા કોણે અને શા માટે કરી હતી? આ સવાલ પરથી પડદો ઊંચકાશે આજના એપિસોડમાં.... પ્રાચીની હત્યાના તાર 2015ના ભૂતકાળ સાથે જોડાયેલા છે. પ્રાચી એન્જિનિયરિંગના 5માં સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેને ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વસીમ મલેક નામના યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. વસીમ પ્રાચીના ઘરે તેની પાસે ટ્યૂશન લેવા પણ જતો હતો. આમ બન્ને એકબીજાની વધુ નજીક આવ્યા હતા. બન્નેના પ્રેમ સંબંધની પ્રાચીના ઘરે પણ જાણ હતી. ખુદ પ્રાચીએ તેની બહેન સચીને કહ્યું હતું કે અમારે પ્રેમ સંબંધ છે. જો કે થોડા વર્ષો પછી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. બ્રેકઅપ થયા બાદ પણ વસીમે પ્રાચીનો પીછો નહોતો છોડ્યો. તે પ્રાચીને સતત ફોન કરતો હતો. જેથી કંટાળીને પ્રાચીએ નવો મોબાઇલ અને સીમ કાર્ડ લીધા હતા. એકવખત સચીની હાજરીમાં પ્રાચી પર વસીમનો ફોન આવ્યો હતો. તેણે પ્રાચીને પરાણે મળવા બોલાવી હતી અને કહ્યું હતું કે તું મળવા નહીં આવે તો હું મરી જઇશ. જેના પછી પ્રાચી તેને મળવા ગઇ હતી ત્યારે વસીમે તેને ચપ્પુ બતાવીને ધમકી આપી હતી. પ્રાચીએ આ વાત સચીને કહી હતી પણ મમ્મી કે બીજા કોઇને વાત ન કરવાનું કહ્યું હતું. વસીમ ઘણીવાર પ્રાચીને હેરાન પરેશાન કરતો રહેતો. પ્રાચી અને તેનું ગ્રુપ જ્યારે ખંભાતથી ડ્રામા શો કરીને વડોદરા પરત ફરી રહ્યું હતું ત્યારે પણ વસીમ પ્રાચીનો સંપર્ક કરવાની કોશિષ કરતો હતો. બસ આ એ જ રાત હતી જે પ્રાચીના જીવનની અંતિમ રાત બની રહેવાની હતી. તારીખઃ 24 એપ્રિલ, 2019સમયઃ રાત્રે 12 વાગ્યા આસપાસ વસીમે પોતાના પિતાના મોબાઇલમાંથી પ્રાચી સાથે ખંભાત ગયેલા ગ્રુપના સભ્ય વત્સલ ધમાણીના મોબાઇલ પર ફોન કર્યો હતો. બન્ને વચ્ચે અંદાજે ચાલીસેક સેકન્ડ વાતચીત થઇ હતી. વસીમઃ તમે ખંભાતથી નીકળી ગયા છો?વત્સલઃ હા, અમે નીકળી ગયા છીએ પણ તમે કોણ બોલો છો?વસીમઃ હું વસીમ બોલું છું અને પ્રાચીનો કોન્ટેક્ટ કરવાની કોશિષ કરી રહ્યો છું પણ તેનો કોન્ટેક્ટ નથી થતો. આના પછી વત્સલે પ્રાચીને કહ્યું હતું કે વસીમનો ફોન છે અને તે તારી સાથે વાત કરવા માગે છે પણ પ્રાચીએ ના પાડી દીધી હતી. વત્સલઃ પ્રાચી વાત કરવા નથી માંગતી.વસીમઃ તમને વડોદરા આવતા કેટલીવાર લાગશે? વત્સલઃ અંદાજે સવાથી દોઢ કલાક લાગશે. વત્સલ પાસેથી વડોદરા પહોંચવાનો સમય જાણી લીધા બાદ વસીમ પ્રાચીને મળવા અધીરો બન્યો હતો. રાત્રે એકાદ વાગ્યે વસીમ એક ખાનગી બેન્કના ATM પર ગયો હતો અને ત્યાંથી 600 રૂપિયા ઉપાડ્યા હતા. આ વખતે ત્યાં મનોજ શિંદે નામનો સિક્યોરિટી ગાર્ડ હાજર હતો. વસીમે કાર્ડ સ્વાઇપ કરતી વખતે તેને પૂછ્યું હતું કે મશીનમાં 100 રૂપિયાની નોટ છે કે કેમ? જેથી મનોજ શિંદેએ હા પાડી હતી. ATMમાંથી રૂપિયા ઉપાડતી વખતે વસીમે 1-2 વખત બહાર નજર કરી હતી. જેથી સિક્યોરિટી ગાર્ડે તેને પૂછ્યું હતું કે તમે નાઇટ શિફ્ટમાં જાઓ છો? ત્યારે વસીમે તેને એવું કહ્યું હતું કે મારે પૈસા ઉપાડીને પપ્પાને આપવાના છે અને કાલે સવારે મારે કોલેજ જવાનું છે. અત્યારે હું મારા મિત્રને લેવા આવ્યો છું. હકીકતમાં વસીમ પ્રાચી સ્ટુડિયો પર ક્યારે પાછી આવે છે તેની રાહ જોતો હતો. ATMમાંથી રૂપિયા ઉપાડીને વસીમ બહાર ગયો અને બેંકની સામે પાર્ક કરેલી પોતાની બાઇક પર બેઠો હતો. થોડીવાર પછી તે ચીકુવાડી 3 રસ્તા પાસે જઇને બેઠો હતો. અહીંથી એપ્લોઝ સ્ટુડિયો એકદમ નજીક હતો. અંદાજે દોઢેક વાગ્યાના અરસામાં એક ટેમ્પો ટ્રાવેલર્સ ચીકુવાડીની અંદર ગઇ હતી. જેને જોતાં જ વસીમને ખ્યાલ આવી ગયો કે પ્રાચી આમાં જ હશે એટલે 2-3 મિનિટ બાદ વસીમ પણ તેની પાછળ પાછળ ગયો હતો. તેણે ત્યાં જઇને ખાતરી કરી લીધી કે પ્રાચી આ વાહનમાં જ છે કે નહીં? જેના પછી વસીમ પાછો આવીને ચીકુવાડી 3 રસ્તા પાસે ઊભો રહી ગયો હતો. થોડી જ વારમાં પ્રાચી અને અંકિત પોતાના વ્હીકલ પર ત્યાંથી નીકળ્યા હતા. આ સમયે વસીમે પ્રાચીને ઇશારો કરીને ઊભી રાખી હતી. પ્રાચીઃ વસીમ, આટલી રાત્રે તું અહીંયા શું કરે છે? અંકિત મને ઘરે છોડવા આવે છે, તુ તારા ઘરે જતો રહે. પ્રાચીએ વસીમને આવું કહેતાં અંકિતે તેને પૂછ્યું હતું કે આ કોણ છે? તો પ્રાચીએ તેને કહ્યું હતું મારે એક્સ બોયફ્રેન્ડ છે અને થોડો બેવકૂફ છે. વસીમ સાથે વાતચીત કર્યા બાદ પ્રાચી એક્ટિવા ચાલુ કરીને ઝડપથી ચકલી સર્કલ તરફ જતી રહી હતી એટલે અંકિત પણ તેની પાછળ નીકળી ગયો. બન્ને ત્યાંથી નીકળી જતાં વસીમે તેમનો પીછો શરૂ કર્યો હતો. આ તરફ પ્રાચી અને અંકિત જાણી ગયા હતા કે વસીમ તેમનો પીછો કરે છે. જેથી પ્રાચીએ અંકિતને એવું કહ્યું હતું કે આપણે એક ગલીમાં જતાં રહીએ. આના પછી બન્ને માધવબાગવાળી ગલીમાં ગયા હતા. અહીં પહોંચ્યા ત્યારે વસીમ તેમની પાછળ આવી ગયો હતો અને બન્નેથી 20-30 મીટર દૂર ઊભો હતો. આ સમયે પ્રાચીએ વસીમને 2 વાર ફોન કર્યા હતા પણ વસીમે રિસીવ કર્યા નહોતા. વસીમ સામે જ ઊભો હોવાથી અંકિત અને પ્રાચીએ બાંકડા પર બેસવાનું નક્કી કર્યું હતું. બન્ને જેવા બાંકડા પર બેઠા કે વસીમ તેમની પાસે આવ્યો હતો અને મોબાઇલ કાઢીને ફ્લેશ લાઇટ ચાલુ કરી દીધી હતી એટલે અંકિતને લાગ્યું કે તે ફોટો કે વીડિયો લઇ રહ્યો છે. પરિસ્થિતિ પામી ગયેલા અંકિતે પ્રાચીને કહ્યું હતું કે આપણે ઘરે જતાં રહીએ એટલે તેઓ ત્યાંથી મોલવાળી ગલીમાં ગયા હતા. જેવા બન્ને નંદ સોસાયટીના વળાંક પાસે પહોંચ્યા કે પાછળથી આવેલા વસીમે પોતાની બાઇક બન્નેના વ્હીકલ આગળ ઊભી રાખી દીધી અને તેમનો રસ્તો રોકી લીધો. વસીમના આવા અણધાર્યા વર્તનથી ડઘાઇ ગયેલા અંકિતે પ્રાચીને કહ્યું કે હું તને ઘરે મૂકી જઉં છું પણ પ્રાચીએ તેને ના પાડી અને જણાવ્યું કે આ મારી પર્સનલ મેટર છે. હું જોઇ લઇશ, તુ જતો રહે. જેથી અંકિત ત્યાંથી નીકળી ગયો હતો. અંકિત ઘરે તો પહોંચી ગયો પણ તેને પ્રાચીની ચિંતા હતી એટલે તેણે રાત્રે પ્રાચીને ફોન લગાવ્યો હતો પણ ફોન લાગતો નહોતો. જેથી તેણે વોટ્સએપ પર એવરીથિંગ ઇઝ ફાઇન? એવો મેસેજ કર્યો હતો પણ પ્રાચીએ કોઇ જવાબ આપ્યો નહોતો પછી અંકિત સૂઇ ગયો હતો. આ તરફ પ્રાચીએ અંકિતને મોકલી દીધા બાદ વસીમને કહ્યું હતું કે આપણું બ્રેકઅપ થઇ ગયું છે. હવે કેમ મને પરેશાન કરે છે? આટલું કહેતાં જ તેની અને વસીમ વચ્ચે ઝઘડો થયો હતો. પ્રાચીએ વસીમને 2 લાફા મારી દીધા હતા. જેના કારણે વસીમ સમસમી ગયો હતો. તેણે પ્રાચીનું ગળું દબાવી દીધું. પ્રાચીએ પ્રતિકાર કર્યો અને તેમની વચ્ચે ઝપાઝપી થઇ. જેમાં પ્રાચીના નખ વસીમને વાગ્યા હતા. જેવી પ્રાચી ગોળ ફરી કે તેનું ગળું વસીમની કોણી વચ્ચે દબાયું હતું. બન્ને રોડ પર નીચે પડતાં છૂટવા માટે પ્રાચીએ ધમપછાડા કર્યા હતા. જેમાં તેનું ગળું વધારે દબાઇ ગયું હતું. પ્રાચી રોડ પર જ પડીને અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી. આ દરમિયાન એક બાઇક ચાલક ત્યાંથી પસાર થયો હતો. જેને જોઇને વસીમે પ્રાચીને રોડની સાઇડમાં હડસેલી દીધી હતી અને પોતે ઊભો થઇને મોબાઇલ પર વાતચીત કરતો હોય તેવો ડોળ કરવા લાગ્યો હતો. બાઇકચાલક જતો રહેતા વસીમે પ્રાચીનું ગળું દબાવી દીધું હતું અને ત્યાંથી બાઇક લઇને ભાગી ગયો હતો. રસ્તામાં તેને યાદ આવ્યું કે પ્રાચીનો મોબાઇલ લેવાનો રહી ગયો છે એટલે તે પાછો આવ્યો હતો અને ત્રીજીવાર પ્રાચીનું ગળું દબાવી મોબાઇલ લઇને ભાગી ગયો હતો. તે ગેંડા સર્કલ પાસે પહોંચ્યો કે તેને યાદ આવ્યું કે પ્રાચી પાસે તો 2 મોબાઇલ હતા. પોતે એક જ મોબાઇલ લીધો છે જેથી તે પાછો આવ્યો હતો. આ સમયે પ્રાચી જીવતી હતી અને પીડાથી કણસી રહી હતી પણ વસીમ પર ઝનૂન સવાર હતું. તેણે પ્રાચીનો બીજો મોબાઇલ લઇ લીધો અને પ્રાચીના જ દુપટ્ટાથી તેને ગળેટૂંપો આપી દીધો. હવે પ્રાચીમાં કોઇ પ્રતિકાર કરવાની ક્ષમતા નહોતી. ગળેટૂંપો આપવાના કારણે તે તરફડીને મૃત્યુ પામી. જેના પછી વસીમે તેની લાશ ઢસડીને રોડની સાઇડ પર સપ્તપર્ણીના ઝાડ અને દીવાલની વચ્ચે ફેંકી દીધી હતી. પ્રાચીની હત્યા કર્યા બાદ વસીમને શું કરવું અને શું ન કરવું તે સૂઝતું નહોતું. તે પ્રાચીના બન્ને મોબાઇલ અને એક્ટિવાની ચાવી પોતાની સાથે લઇને ભાગી ગયો હતો. આ તરફ મોડી રાત સુધી વસીમ ઘરે ન પહોંચતાં તેના પિતા પણ ચિંતામાં હતા. તેણે વસીમને રાત્રે 2:19 વાગ્યે તુ ક્યાં છો? તેવો મેસેજ કર્યો હતો. વસીમને કોઇ જવાબ ન દેતા ફરીથી 2:21 વાગ્યે ઘરે આવી જા તેવો મેસેજ કર્યો હતો. જેના પછી 3:25 વાગ્યે બેટા, તુ ક્યાં છો, કોઇ રિપ્લાય નથી આપતો, શું થયું છે? મને બહુ ટેન્શન થઇ રહ્યું છે તેવો મેસેજ કર્યો હતો. વસીમે કોઇપણ મેસેજનો જવાબ નહોતો દીધો. જો કે વસીમને તેના પિતા સાથે મોબાઇલ પર વહેલી સવારે 4-16 વાગ્યે અને 4-51 વાગ્યે એમ 2 વાર વાતચીત થઇ હતી. વસીમ આ ઘટનાસ્થળથી અંદાજે 8 કિલોમીટર દૂર ગોરવામાં આવેલી ફાતિમા રેસિડેન્સીમાં રહેતો હતો. તે પોતાના ઘરે ગયો હતો અને તેના પિતા સિકંદર મલેકને બધી વાત કરી હતી. આના પછી તે ભરૂચ ભાગી જવા માટે ઘરેથી નીકળી ગયો હતો અને વડોદરાથી ભરૂચની ટિકિટ પણ લઇ લીધી હતી. સવારે જ્યારે પ્રાચીની લાશ અંગે પોલીસને જાણ થઇ અને પોલીસે અંકિતની પૂછપરછ કરી. જેમાં અંકિતે રાત્રે બનેલો આખો ઘટનાક્રમ કહ્યો. જેથી પોલીસે અંકિતને પૂછ્યું હતું કે તુ વસીમને ઓળખી શકે? અંકિતે હા પાડતાં જ ઇન્સ્ટાગ્રામમાં તેનું નામ લખ્યું હતું અને જે ફોટો આવ્યા હતા તેમાંથી અંકિતે વસીમને ઓળખી લીધો હતો. જેના પછી પોલીસે અલગ અલગ 16 ટીમ બનાવી હતી. નેત્રંગથી લઇને કચ્છ સુધી તપાસ કરીને હત્યાના 9 કલાક બાદ વડોદરા રેલવે સ્ટેશનથી વસીમને ઝડપી લીધો હતો. પોલીસને વસીમ પાસેથી પ્રાચીના 2 મોબાઇલ અને એક્ટિવાની ચાવી મળી આવી હતી. વસીમે ચાલાકી વાપરીને પ્રાચીના મોબાઇલમાંથી કોલ રેકોર્ડિંગ ડિલીટ કરી દીધું હતું પણ તેણે કરેલા ગુનાનો પર્દાફાશ થઇ ચૂક્યો હતો. પોલીસને વસીમના શરીર પરથી પ્રાચી સાથે થયેલી ઝપાઝપી દરમિયાન પડેલા ઉઝરડાના નિશાન મળ્યાં હતા. પોલીસે ફ્લેટ, બેંક, મોલ અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતા સાથે જ એપ્લોઝ સ્ટુડિયોથી પ્રાચીના ઘર સુધી રસ્તા પર જે-જે સ્થળો આવતા હતા તેનો નકશો રજૂ કર્યો હતો. કોર્ટમાં 33 સાક્ષી અને 100 જેટલા દસ્તાવેજો રજૂ થયા હતા. બનાવને નજરે જોનારો એક પણ સાક્ષી નહોતો પણ વસીમે પિતાને કરેલા ફોન, તેનું લોકેશન, ATMના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે કોર્ટે વસીમને પ્રાચીની હત્યા કરવા બદલ દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. 'આ મારી પર્સનલ મેટર છે, તુ જા', પ્રાચીએ મિત્રને ઘરે મોકલવાની ભૂલ કરી, વાંચો પાર્ટ-1
અક્ષય કુમારના આઇડિયાને અનુસરી બીએમસી યોજશે મુંબઈ ક્લીન લીગ
અક્ષય કુમાર બ્રાન્ડ એમ્બેસેડર બનશે સોસાયટીઓ, શિક્ષણ સંસ્થાઓ તથા અન્ય એકમો ભાગ લઈ શકશેઃ પ્રોપર્ટી ટેક્સમાં છૂટ સહિતનાં ઈનામો મુંબઈ - મુંબઈના નાગરિકો સફાઈ માટે જાગૃત થાય તે માટે મહાપાલિકા દ્વારા આઈપીએલની તર્જ પર મુંબઈ ક્લીન લીગ સ્પર્ધા યોજાશે. જુદા જુદા વિસ્તારો તથા સોસાયટીઓ તેમાં ભાગ લઈ શકશે. વિજેતાઓને એવોર્ડ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સમાં છૂટછાટ જેવાં પ્રોત્સાહનો પણ અપાશે. આ સમગ્ર સ્પર્ધા માટે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર બ્રાન્ડ એમ્બેસેડર બનશે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાની સિક્યુરિટી ચીફના માર્યા ગયા હોવાના દાવા સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર સુપ્રીમ કોર્ટની જાહેરાતના રહ્યા. હવે બાળક દત્તક લેવા પર માતાને 12 અઠવાડિયાની રજા મળશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો આજે આઠમો દિવસ છે. 2. નવી દિલ્હીમાં ભારત ટ્રાઈબ્સ ફેસ્ટ 2026નો શુભારંભ થશે. કાલના મોટા સમાચારો 1. ઈઝરાયલનો દાવો- ઈરાનના સૌથી શક્તિશાળી અધિકારી લારીજાની માર્યા ગયા: બસીજ ફોર્સના કમાન્ડર સુલેમાનીનું પણ મોત, ઈરાને હજુ સુધી પુષ્ટિ કરી નથી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 18મો દિવસ છે. આ દરમિયાન ઈઝરાયલના રક્ષામંત્રી કાત્ઝે દાવો કર્યો છે કે ઈરાનમાં રાત્રે કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં દેશના સિક્યોરિટી ચીફ અલી લારીજાની માર્યા ગયા છે. તેઓ ઈરાનના સૌથી શક્તિશાળી અધિકારી માનવામાં આવે છે. આ પહેલા ઈઝરાયેલી સેના (IDF) એ પુષ્ટિ કરી હતી કે તેણે લારીજાનીને નિશાન બનાવ્યા હતા. આ સાથે જ IDF એ જણાવ્યું કે એક અલગ હુમલામાં ઈરાનની બસીજ પેરામિલિટ્રી ફોર્સના કમાન્ડર ગોલામરેઝા સુલેમાનીને પણ મારી નાખવામાં આવ્યા છે. રક્ષામંત્રી કાત્ઝે નિવેદનમાં જણાવ્યું હતું કે લારીજાની અને બસીજ કમાન્ડરને ખતમ કરી દેવામાં આવ્યા છે અને તેઓ એવા લોકોની સાથે જઈ મળ્યા છે, જેમને ઈઝરાયલ પહેલા જ મારી ચૂક્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બાળક દત્તક લેવા પર માતાને 12 અઠવાડિયાની રજા:3 મહિનાથી ઓછી ઉંમરનો નિયમ હટાવ્યો, સુપ્રીમ કોર્ટે કહ્યું- પિતાને રજાનો પણ નિયમ બને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ વાત તે કેસની સુનાવણી દરમિયાન કહી, જેમાં આ સોશિયલ સિક્યુરિટી કોડની તે કલમને પડકારવામાં આવી હતી જેમાં દત્તક લેનાર માતાને ત્યારે જ પ્રસૂતિ રજા મળશે જ્યારે બાળક 3 મહિનાથી ઓછી ઉંમરનું હોય. હંસાનંદિની નંદુરીએ આ અંગે જનહિત અરજી દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉંમર આધારિત પ્રતિબંધ મનસ્વી અને બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. કોર્ટે આ જોગવાઈમાં સુધારો કરતા કહ્યું કે જે મહિલા કાયદેસર રીતે બાળકને દત્તક લે છે, તેને બાળકની ઉંમર ગમે તે હોય, 12 મહિનાની મેટરનિટી લીવ મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મમતા ભવાનીપુરથી ચૂંટણી લડશે, અહીં ભાજપના ઉમેદવાર સુવેન્દુ:તૃણમૂલે તમામ 291 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી; મમતાએ કહ્યું - બંગાળ જીતશે, દિલ્હીનો લાડુ હારશે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC)એ મંગળવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 294 બેઠકોમાંથી 291 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી. બાકીની ત્રણ બેઠકો સાથી પક્ષ BJPMને આપવામાં આવી છે. મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે. તેમનો મુકાબલો ભાજપ નેતા સુવેન્દુ અધિકારી સાથે થશે. પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીએ કહ્યું, હું ભાજપને કહેવા માંગુ છું કે તેઓ કેમ ડરે છે. જો તમારે લડવું હોય તો મેદાનમાં આવો અને મુકાબલો કરો. મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ વતી સ્માર્ટ ગેમ રમી રહ્યું છે. બંગાળમાં બે તબક્કામાં 23 અને 29 એપ્રિલે મતદાન થશે, પરિણામ 4 મેના રોજ આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ક્રિકેટર કુલદીપ યાદવ દુલ્હન સાથે વિન્ટેજ કારમાં પહોંચ્યો:CM યોગીને પગે લાગ્યો, અખિલેશને ભેટ્યો; રિસેપ્શનમાં ગંભીર-ધવન અને જાડેજા પણ પહોંચ્યા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું લખનઉમાં રિસેપ્શન શરૂ થઈ ગયું છે. કુલદીપ પોતાની દુલ્હન વંશિકા સાથે રોલ્સ-રોયસ વિન્ટેજ કારમાં સવાર થઈને હોટલ ‘ધ સેન્ટ્રમ’ પહોંચ્યા છે. 1960 મોડલની આ કાર ખાસ દિલ્હીથી મંગાવવામાં આવી છે. વર-કન્યા પરંપરાગત લુકમાં જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સૌથી પહેલા સ્ટેજ પર પહોંચીને કુલદીપ અને વંશિકાને આશીર્વાદ આપ્યા હતા. કુલદીપે ગૌતમ ગંભીરના ચરણ સ્પર્શ કર્યા હતા. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રિસેપ્શનમાં પહોંચ્યા છે. કુલદીપે યોગીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા, જ્યારે વંશિકાએ હાથ જોડીને નમસ્તે કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કમિટીએ CMને UCCનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 25મીએ ગૃહમાં રજૂ કરાશે:લગ્ન માટે યુવતીની લઘુત્તમ વય 21 વર્ષ કરવા ભલામણ થઈ શકે, લિવ-ઇન માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની સંભાવના ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ કમિટી 4 ફેબ્રુઆરી, 2025ના રોજ રચવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે રિપોર્ટ રજૂ કર્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. દિયોદરમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર છરા વડે જીવલેણ હુમલો:જીવ બચાવવા ATMમાં ઘૂસ્યો તો હુમલાખોરોએ ત્યાંથી બહાર ખેચી આડેધડ ઘા માર્યા, માથાના ભાગે ગંભીર ઈજા વાવ-થરાદ જિલ્લાદર તાલુકાના સોની ગામે પરીક્ષા આપીને બહાર નીકળેલા એક 18 વર્ષીય વિદ્યાર્થી પર જૂની અદાવતમાં બે શખ્સોએ છરા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે દિયોદર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી 18 વર્ષીય યુવક મહેશ રામજીભાઈ ચૌધરી ડીસા તાલુકાના નેસડા ગામનો રહેવાસી છે. હાલ ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ગઇકાલે 16 માર્ચે બપોરે 2:30 વાગ્યે તે સોની ગામની શ્રી બી.વી.પટેલ વિદ્યામંદિર ખાતે સંસ્કૃતનું પેપર લખવા ગયો હતો. પરીક્ષા દરમિયાન આરોપીઓ દ્વારા ફોન કરવામાં આવ્યા, પરંતુ પેપર હોવાથી મહેશે ફોન ઉપાડ્યા નહોતા. ત્યારબાદ ફોન પર થયેલી સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ મહેશને જાનથી મારી નાખવાની ધમકી આપી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગીર સોમનાથમાં ‘સફેદ ઝેર’નું કારખાનું:રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું ઝેરી દૂધ; ડાયાબિટીસથી કેન્સર સુધીનું જોખમ ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી નકલી દૂધ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં કાર્યરત નકલી દૂધની ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે કુલ 4,68,140 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દૂધ તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય કરવાનું કૌભાંડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અહીં 6 હજાર લીટર દૂધનું રોજ ઉત્પાદન કરાતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નકલી દૂધમાં વપરાતા હાનિકારક પદાર્થોને કારણે સેવન કરનારને કેન્સર, ડાયાબિટિસ, આંતરડામાં ચાંદા, તેમજ પાચનતંત્રને લગતી અનેક ભયંકર રોગ થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : LIVE કેમેરા પર યુવકે છાતીમાં ગોળી મારી:મિત્ર વીડિયો બનાવતો રહ્યો, 'ચલાવતો નહીં ભાઈ...' કહ્યું પણ હસતા મોઢે ગોળી ધરબી; ચોંકાવનારો VIDEO વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી:400નાં મોત, 250 ઘાયલ; PAKએ નશા મુક્તિ સેન્ટર પર બોમ્બ ફેંક્યા હોવાનો તાલિબાનનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : લોકસભામાંથી વિપક્ષના 8 સાંસદોનું સસ્પેન્શન રદ:સ્પીકર બિરલાએ સાંસદોને કહ્યું- પોસ્ટરો અને AI-જનરેટેડ તસવીરો ન બતાવો; પ્રિયંકાએ કહ્યું- ખૂબ ખુશી થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 'એકલા ચાલો રે' ટ્રમ્પ:'NATOનું ભવિષ્ય ખરાબ થશે'ની ધમકી, છતાં સાથી દેશોએ હોર્મુઝ મુદ્દે સાથ ન આપ્યો; કહ્યું- આ અમારું યુદ્ધ નથી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ₹5 હજાર વધીને ₹2.54 લાખ પર પહોંચી:સોનું ₹300 વધીને ₹1.56 લાખનું થયું, આ વર્ષે કિંમત ₹23 હજાર વધી ચૂકી છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPL 2026: ગુજરાત ટાઇટન્સે ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું:હોમ મેચની ટિકિટો 1000 થી 25 હજારની રહેશે; દર્શકોને મોબાઈલ પર ક્યુઆર કોડવાળી ટિકિટ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બે દિવસ રહેશે અમાસ:18 માર્ચે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન અને દાન-પુણ્ય કરો; 19 માર્ચથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ઈંડા પર લખવી પડશે મરઘીના ઈંડા આપવાની તારીખ 1 એપ્રિલ 2026થી ઉત્તર પ્રદેશમાં ઈંડા પર 'લેઈંગ ડેટ' એટલે કે મરઘીએ ઈંડા આપ્યાની તારીખ અને ઈંડાની એક્સપાયરી ડેટ લખવી અનિવાર્ય હશે. તેનાથી દુકાનદારો જૂના ઈંડાને ફ્રેશ કહીને વેચી શકશે નહીં. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. વાજપેયીને સ્ટેજ પર નચાવ્યા, મોદીએ આશીર્વાદ લીધા: PM બનાવવાની ક્રેડિટ લેનારા આસારામનો અસલી પાવર શેમાં હતો? 2008ની એક ઘટનાએ બધું બદલી નાખ્યું 2. આજનું એક્સપ્લેનર: અરબ દેશોએ અમેરિકાને કહ્યું- ઈરાનની 'બરબાદી' સુધી હુમલા કરતા રહો; પોતે યુદ્ધમાં કેમ નથી ઉતરી રહ્યા સાઉદી-UAE? 3. એક્સક્લૂસિવ : 2 દેશોની બોર્ડર અને બસમાં 1500 કિમીનો જોખમી પ્રવાસ: યુદ્ધ વચ્ચેથી બચ્યા ગુજરાતીઓ, કહ્યું- જો BAPSના સંતો ન હોત તો અમે આજે અહીં ન હોત 4. 25 વર્ષની ડ્રામા આર્ટિસ્ટ પ્રાચીની બીજા દિવસે સવારે લાશ મળી: ગળા પર ટૂંપો અને મોં પર ઉઝરડાના નિશાન હતા, 17 લોકોના ગ્રુપે ખંભાતમાં કરેલો શો છેલ્લો બની ગયો 5. બંગાળમાં મમતાની મંદિર રાજનીતિથી શું બદલાશે: એક વર્ષમાં ત્રણ મંદિરોનો શિલાન્યાસ-ઉદ્ઘાટન, લોકો બોલ્યા- મંદિર બનાવવાથી શું થશે 6. ભાસ્કર એક્સપ્લેનર : ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં 2 એક્સ્ટ્રા બેઠકો કેવી રીતે જીતી: હવે રાજ્યસભામાં મોદી સરકારને બહુમતીથી 17 સીટ વધારે, આની શું અસર પડશે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: કર્ક રાશિના પૈતૃક સંપત્તિના વિવાદો ઉકેલાશે, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
ભાસ્કર ખાસ:સિદ્ધપુરની ડુંગરીયાસણ અને દશાવાડા પંચાયતો દ્વારા 100% વેરા વસૂલાત
સિદ્ધપુરમાં સરકારી યોજનાઓનો લાભ લેવામાં ઉદાસીનતા દાખવતી ગ્રામ પંચાયતો માટે સિદ્ધપુર તાલુકાની ડુંગરીયાસણ અને દશાવાડા પંચાયતે નવો રાહ ચિંધ્યો છે. ‘સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ’ યોજના હેઠળ આ બંને પંચાયતોએ વર્ષ 2025-26 માટે 100% વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરી દીધો છે. આ સિદ્ધિના કારણે હવે આ ગામોને વિકાસકામો માટે સરકાર તરફથી પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે લાખો રૂપિયાનું વધારાનું ભંડોળ મળશે. તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તલાટીઓની ટીમે રજાના દિવસોમાં પણ ઘરે-ઘરે જઈને વેરા વસૂલાતની ઝુંબેશ હાથ ધરી ડુંગરીયાસણ પંચાયતે ₹2.57 લાખ અને દશાવાડાએ ₹6.77 લાખના લક્ષ્યાંક સામે પૂરેપૂરી રકમ વસૂલ કરી છે. ખાસ કરીને દશાવાડામાં તો 100.69% વસૂલાત નોંધાઈ છે. આ કામગીરી પાછળ તલાટી સુનિલભાઈ ત્રિવેદી અને ગ્રામજનોનો સહકાર નિર્ણાયક સાબિત થયો છે. જ્યારે સમગ્ર તાલુકાની સરેરાશ વસૂલાત હજુ 42.32% પર અટકેલી છે, ત્યારે આ બે પંચાયતોનું મોડેલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 100 ટકા વસૂલાતથી ગામને શું ફાયદો થાય છે સરકારના નિયમ મુજબ, જે પંચાયત 95% થી વધુ સફાઈ વેરો વસૂલ કરે, તેને વસૂલાતની બમણી રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે મળે છે. એટલે કે, જો તમે સમયસર વેરો ભરો છો, તો ગામની તિજોરીમાં બમણા પૈસા ( ગ્રાન્ટ) આવે છે. આ ભંડોળનો ઉપયોગ ગામના સીસી રોડ, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે કરવામાં આવે છે. સિદ્ધપુરની આ પંચાયતોમાં હવે સરકારી ગ્રાન્ટનો ધોધ વહેશે, જેનો સીધો લાભ સ્થાનિક રહીશોને માળખાકીય સુવિધાઓ સ્વરૂપે મળશે.
તમાકુ એસો.ની બેઠકમાં નિર્ણય:40 ટકા GSTના વધારાના વિરોધમાં વેપારીઓની તમાકુની ખરીદી પર બ્રેક
ઉત્તર ગુજરાતમાં રવિ પાકની સિઝન ટાણે જ મોટો વળાંક આવ્યો છે. ઊંઝાના સાઈબાબા મંદિર ખાતે તાજેતરમાં ઉત્તર ગુજરાતના તમામ તમાકુ એસોસિએશનોની મળેલ અત્યંત મહત્વની બેઠકમાં 40 ટકા જીએસટી કમરતોડ હોવાની લાગણી સાથે તમામ વેપારીઓએ કાચી તમાકુની ખરીદી પર અનિશ્ચિત સમય માટે હાલમાં બ્રેક મારી દીધી છે. કારોબારી સભ્યોની આ બેઠકમાં નક્કી કરાયું છે કે જ્યાં સુધી એસોસિએશન દ્વારા આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ વેપારીએ માલ લેવો નહીં. આ ગૂંચ ઉકેલવા માટે દરેક એસોસિએશનમાંથી 4 થી 5 સભ્યોની એક વિશેષ કમિટી બનાવાઈ છે. આ કમિટીની આગામી નિર્ણાયક બેઠક તા.5 એપ્રિલના રોજ યોજાશે. જેમાં ખરીદી શરૂ કરવા અંગેનો આખરી નિર્ણય લેવાશે. ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં કુલ 12553 હેક્ટરમાં તમાકુનું વાવેતર તૈયાર થઈ ગયું છે. ઝડપથી નિકાલ નહીં આવે તો ખેડૂતો માટે સમસ્યા {ઇડરના ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું કે, અત્યારે માલ વેચીને લેણું ચૂકવવાનો સમય છે ત્યારે વેપારીઓ ખરીદી બંધ કરીને બેસી ગયા છે. 5 એપ્રિલ સુધી બજાર બંધ રહેશે તો અમારો માલ ઘરના આંગણે પડ્યો રહેશે. જીએસટીની મડાગાંઠ નહિ ઉકલે તો માલની ક્વોલિટી ગ્રેડીંગને અસર થઈ શકે છે. {હિંમતનગરના ખેડૂત અમરતભાઈએ જણાવ્યું કે ખેડૂતોને લગ્નની સિઝન અને આગામી ખરીફ પાકના વાવેતરની તૈયારીઓ માટે પૈસાની જરૂર હોય છે. જે આ નિર્ણયને કારણે બાધિત થશે. વળી વેપારીઓ ખરીદી શરૂ કરશે અને એકસાથે માલનો ભરાવો થશે તો પણ ભાવ નહિ મળે. {હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું કે ગંભીર સમસ્યા છે.
દુર્ઘટના:થાંભલા પર વીજ કામ કરતા કામદારને કરંટ લાગતા પટકાયો : ઝાડીમાં આગ
ગોધરાના લીલેસરા સબ સ્ટેશન પાછળ વિજથાંભલા પર કામદાર કામ કરતા દરમ્યાન અચાનક વિજપુરવઠો ચાલુ થતા કામદારને કરંટથી દાઝી જતા નીચે પટકાતા ઝાંડી ઝાખરામાં આગ લાગી હતી. ઇજાગ્રસ્ત કામદારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ગોધરા શહેરના લીલેશરા સબ સ્ટેશન પાછળના વિસ્તારમાં એક આગ ઘટના બની હતી. જેમાં વીજ થાંભલા પર કામ કરતા એક કામદારને વીજ કરંટ લાગ્યો હતો.માહિતી મુજબ, જેટકોના 220 કે.વી. સબ સ્ટેશન નજીક ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન શાંતિલાલ ડામોર નામનો કામદાર વીજ થાંભલા પર ચઢીને કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક વીજ લાઈનમાં વીજ પુરવઠો શરૂ થઈ જતા તેને ઉચ્ચ દબાણનો વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા કામદાર ગંભીર રીતે દાઝી ગયો હતો અને થાંભલા પરથી નીચે પટકાયો હતો. નીચે પડ્યા બાદ જ્યાં સૂકા ઝાડી-ઝાંખરા હતા. ત્યાં આગ લાગી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. લીલેસરા સબ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક ઇજાગ્રસ્ત કામદારને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ આગ ફેલાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી લગભગ બે કલાકથી વધુ સમય સુધી મહેનત કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફરિયાદ:મોરબીમાં સ્ટેમ્પ વેન્ડર પાસેથી 11 લાખના 2.43 કરોડ પડાવ્યા છતાં વ્યાજખોરોનું પેટ ન ભરાયું
મોરબીમાં બે વ્યાજખોરોમાં જાણે સંવેદનાનો છાંટો જ ન હોય એમ માનવતા નેવે મૂકી દીધાની આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં સ્ટેમ્પ વેન્ડરને ધંધાની જરૂરત માટે દર અઠવાડિયે અને મહિને પાંચ ટકા વ્યાજ લેખે રૂ.11 લાખ આપ્યા બાદ બે વ્યાજખોરોએ એમનું જીવતર ઝેર કરી નાખ્યું હતું અને 11 લાખના અનેકગણા વધુ 2.43 કરોડ રૂપિયા પડાવી લીધા છતાં આ બન્ને વ્યાજખોરોનું પેટ ભરાયું ન હતું અને બન્ને વ્યાજખોરોએ વધુ રૂપિયા પડાવવા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જો રૂપિયા નહીં આપે તો તેમના સહિત પરિવારને ઘરબાર વગરના કરી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ-764 માં રહેતા અને સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરતા સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજા (ઉ.વ.60) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા અને અશ્વિનભાઈ રામજીભાઈ ભાલોડીયા રહે. બંને આર્યનગર સોસાયટી જીઆઇડીસી સામે સનાળા રોડ મોરબીની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમને ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી તેમણે આરોપીઓ પાસેથી રોકડા 11 લાખ રૂપિયા દર અઠવાડિયે તેમજ મહિને પાંચ ટકા લેખે કુલ મળીને 2.43 કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવી દીધા હોવા છતાં વ્યાજની માંગણી કરીને જો રૂપિયા નહીં આપે તો ફરિયાદી તથા તેના પરિવારને ઘરબાર વગરના કરી નાખશે તેવી ધમકી આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરાઇ હતી. જેથી સ્ટેમ્પ વેન્ડર દ્વારા નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
હાશકારો:મોરબીમાં 33 દિવસ બાદ ઐતિહાસિક પાડાપુલ પર વાહન વ્યવહાર ફરી શરૂ
મોરબી શહેર અને સામાકાંઠા વિસ્તારને જોડતો રાજવીકાળનો ઐતિહાસિક પાડાપુલ જર્જરિત હાલતમાં પહોંચતાં અવરજવર જોખમી બની ગઈ હતી. કલેકટરના આદેશ મુજબ માર્ગ અને મકાન વિભાગે તા.12 ફેબ્રુઆરીથી પુલને બંધ કરીને રીપેરીંગ અને રિનોવેશનની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન આજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલની મુખ્ય કામગીરી પૂર્ણ થયાનું જણાવી પાડાપુલ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. પુલ બંધ રહેતા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી મોરબી શહેર અને સામાકાંઠા વચ્ચે અવરજવર માટે મયુરબ્રિજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાના કારણે નટરાજ ફાટક વિસ્તારમાં ટ્રેન અવરજવર સિવાય મોટા પ્રમાણમાં ટ્રાફિકની અંધાધૂંધી સર્જાઈ નહોતી. આજે 33 દિવસ બાદ પાડાપુલ પર વાહન વ્યવહાર શરૂ થતા શહેરમાં ટ્રાફિકનું ભારણ થોડું ઓછું થયું છે. પુલ ખુલતાં જ હજારો વાહનોની અવરજવર શરૂ થતાં પુલ ફરીથી ધમધમી ઉઠ્યો હતો. જોકે પુલ શરૂ થતા પ્રથમ જ દિવસે સફાઈના અભાવે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પુલ પર ડામર ઉપર નાખવામાં આવેલ લાઈમ સ્ટોન પાઉડરની સફાઈ કર્યા વગર જ પુલ ખુલ્લો મુકાતા આખો દિવસ ધૂળ ઉડતી રહી હતી. આ ધૂળના રજકણો આંખોમાં ઘુસી જતા વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ પાડાપુલના રીપેરીંગ માટે આશરે રૂ.1.30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પુલમાં સ્પાન, જોઈન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત પુલના નીચેના ભાગમાં અગાઉ 50 મીમીના રબ્બર લગાવવામાં આવ્યા હતા, જેને બદલી હાલમાં 90 મીમીના રબ્બર લગાવવામાં આવતા પુલની ઊંચાઈમાં પણ થોડો વધારો થયો છે. વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલું કામ રાત્રિના સમયે પૂર્ણ કરવામાં આવશે.
રજૂઆત:ઊના, ગીરગઢડામાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની અછત ઉભી થઇ
ઊના, ગીરગઢડા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ઉનાળો બેસતાં ની સાથે પાણી અછત જોવા મળી રહી છે. રાવલ જુથ અને મચ્છુ નદી ડેમ જુથ યોજના હેઠળ પુરતાં પ્રમાણમાં પીવાનું પાણી પહોંચતું કરવાં ની માંગણી સાથે ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ની આગેવાની હેઠળ પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરી હતી. સીઝનના દિવસો જેમ-જેમ પસાર થતા જાય છે તેમ-તેમ દિન-પ્રતિદિન પીવાના પાણીની સમસ્યાઓ ઉના ગીરગઢડા બંને તાલુકામા સમસ્યા’ વધતી જાય છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ઉના તાલુકાના દરિયા કાંઠાના ગામડાઓ તેમજ અન્ય ગામડાઓમાં 10 થી 12દિવસ સુધી પાણી આપવામાં આવ્યું જ નથી તેમજ ગીર પૂર્વ વન વિભાગ ગીર પશ્ચિમ વન વિભાગમાં આવતા માલધારી નેસોમાં પણ પાણીની તંગી ઉભી થઈ છે. જે અંગે ગંભીરતાપૂર્વક ધ્યાન દોરીએ કોંગ્રેસ અગ્રણી પુંજાભાઈ વંશ એ સમસ્યા વિકરાળ બંને તે પહેલાં તંત્ર એ ઉકેલ લાવવા માંગણી કરી હતી. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશ એ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બન્ને તાલુકા ના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા લોકોને તેની જરૂરિયાત મુજબ માથાદીઠ નક્કી કરેલ નિયમો અનુસાર પીવા અને વાપરવા તેમજ ઢોર માટે જે પાણી મળવું જોઈએ તે નહીં મળતું હોવાથી પાણી ની સમસ્યા માટે ના પોકારો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર એ પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલનમાં રહીને વહેલી તકે પાણી ની સમસ્યાથી છુટકારો આપવા માંગણી કરી છે. ઊના- તાલાલાનાં ત્રણ ગામોને બાદ કરતાં ક્યાંય સમયસર પાણી મળતું નથીઉના, ગીરગઢડા તાલુકાના 124 ગામો પૈકી ઉના-દીવ જુથ યોજનામાં કુલ 34 ગામો નર્મદા આધારિત મહી પરીએજ યોજનામાં 90/1 ગામો તેમજ ચાંચકવડ જુથ યોજનામાં 3 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. ચાંચકવડ જુથ યોજનાના ત્રણ ગામોને બાદ કરતા બાકીના તમામ ગામોને સમયસર અને નિયમિત પાણી પૂરું પાડવામાં આવતું નથી. પૂર્વ ધારાસભ્ય સહિત દ્વારા આવેદન અપાયું. તસ્વીર. જયેશ ગોંધીયા
કાર્યવાહી:મોડાસામાં વેરો ના ભરતાં 20 મિલકતદારોનાં નળ કનેક્શન કપાયા, 5 મિલકતો સીલ કરાઇ
મોડાસા નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા ચાલુ વર્ષે ટેક્સ વસૂલવાની કામગીરી દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ટેક્સ ન ભરતાં 20 મિલકતદારોના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તદુપરાંત છેલ્લા કેટલાય સમયથી ટેક્સ ન ભરતાં પાંચ રીઢા બાકીદારોની 5 મિલકતો સીલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે નગરપાલિકાની વેરા વસૂલાત ટીમ દ્વારા 73 ટકા ટેક્સની વસૂલાત કરવામાં આવી હોવાનું વેરા વસૂલાત વિભાગના કુંજલ પટેલે જણાવ્યું હતું. મોડાસા શહેરી વિસ્તારમાં નગરપાલિકાની વેરા વસૂલાત ટીમ દ્વારા ટેક્સ વસૂલાત કરવા માટે કમર કસાઇ છે. વેરા વસૂલાત ટીમ દ્વારા ચાલુ વર્ષમાં રૂ.5.09 કરોડ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન ખૂલ્લા પ્લોટ દુકાનો શોપિંગ સેન્ટરો સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સરકારી મિલકતોની ટેક્સની બાકી યાદી વેરા વસૂલાત ટીમ દ્વારા તૈયાર કરાઇ રહી છે. વેરા વસૂલાત ટીમ દ્વારા પાછલી બાકી વસૂલાત 81.88 લાખ કરવામાં આવી છે. તેમ છતાં પણ પાછલી બાકી રકમ 5.77 કરોડ વસૂલવા નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા જે મિલકતદારોનો રૂ.5હજાર, 2500 કરતાં વધુ ટેક્સ બાકી છે તેવા મિલકત ધારકો પાસેથી ટેક્સ વસૂલવા તેમની યાદી તૈયાર કરાઇ રહી છે. નગરપાલિકાની વેરા વસૂલાત ટીમ દ્વારા ચાલુ બાકી ટેક્સની રકમ 7.03 કરોડ વસૂલવાના બાકી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલ છે. મોડાસા નગરપાલિકામાં સમાવિષ્ટ સાબલપુર, સાયરા અને ખલીપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં વેરા વસૂલાત દરમિયાન નગરપાલિકા દ્વારા નાગરિકોને ડસ્ટબિન આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મોડાસા પાલિકાએ ચાલુ વર્ષ 2025-26 દરમિયાન શહેરી વિસ્તારમાં મિલકત ધરાવતા મિલકત ધારકોને 10% રિબેટ આપવાનું જાહેર કરાતાં આ વર્ષે પાલિકા દ્વારા અત્યાર સુધીમાં મિલકત ધારકોને 30 લાખ જેટલી માતબર રકમનું રિબેટ ચૂકવાયું છે. પાલિકાની પાછલી બાકી રકમ રૂપિયા 5.77 કરોડ થવા જાય છે જ્યારે વેરા વસુલાત ટીમ દ્વારા પાછલી વસૂલાત 81.88 લાખ ટેક્સ વસૂલ કરાયો છે.
ઠગાઈ:બોટાદમાં બેંક લોનવાળું મકાન પધરાવી દઈ રૂ.2.05 કરોડની છેતરપિંડી : 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર ગોવિંદપાર્કમાં રહેતા 53 વર્ષીય હિનાબેન ધોળકીયા સાથે રૂ. 2 કરોડ 5 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર હનુભાઈ માત્રાભાઈ ખાચર (રહે. નોલી) અને પાટડીયા પરિવારના પાંચ સભ્યો સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ઘટનાની વિગતો મુજબ, હનુભાઈ ખાચરે ઓક્ટોબર 2025માં અખબારમાં નોટિસ આપી હતી કે ગોવિંદપાર્ક સ્થિત પ્લોટ નં. 1 અને મકાન પર કોઈનો હક-હિત નથી. આ નોટિસ પર ભરોસો રાખી હિનાબેને મકાન અને બાજુનો પ્લોટ ખરીદવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીએ દસ્તાવેજ સમયે અને ત્યારબાદ ટુકડે-ટુકડે પોતાના ઘરેણાં વેચીને કુલ રૂ. 2.05 કરોડ હનુભાઈને ચૂકવી દીધા હતા. ત્યારબાદ નવેમ્બર અંતમાં ફરિયાદી મકાનમાં રહેવા ગયા હતા. જોકે, 16 ડિસેમ્બર 2025ના રોજ HDFC બેંકના રિકવરી સ્ટાફે ઘરે આવીને જણાવ્યું હતું કે આ મકાન પર અગાઉથી જ રૂ. 90 લાખની લોન લેવાયેલી છે, જે વ્યાજ સાથે આશરે રૂ. 97 લાખ જેટલી થાય છે. આ વ્યક્તિઓ સામે ફરિયાદ : હનુભાઈ માત્રાભાઈ ખાચર (રહે. નોલી, જી. સુરેન્દ્રનગર) – મુખ્ય આરોપી (વચેટિયો) .સુનીલભાઈ કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) – મૂળ માલિક/પ્રોપરાઈટર .કલ્પેશભાઈ કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) .હંસાબેન કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) .અરૂણાબેન સુનીલભાઈ પાટડીયા (રહે. બોટાદ) .કનૈયાલાલ લાલજીભાઈ પાટડીયા (રહે. બોટાદ) નોંધ: આ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદી મહિલાને મકાન પરની લોન બાબતે અંધારામાં રાખી, વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી.

31 C