ગિફ્ટ સિટી (ગાંધીનગર) એ તેની ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ઇકોસિસ્ટમમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (GIFT IFIH) હેઠળ ‘વિમેન ઇન ફિનટેક એક્સીલરેટર’ પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સંચાલિત ફિનટેક સ્ટાર્ટઅપ્સને સંસ્થાગત મૂડી મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરી તેમને વૈશ્વિક સ્તરે સક્ષમ બનાવવાનો છે. સંસ્થાગત મૂડી અને માળખાકીય અવરોધોનો ઉકેલઆ પ્રોગ્રામ ખાસ કરીને એવા પડકારોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે જે મહિલા ઉદ્યોગસાહસિકોને ફંડિંગ મેળવતી વખતે નડે છે. રોકાણકાર નેટવર્ક સુધી મર્યાદિત પહોંચ અને પરંપરાગત ફંડિંગ સિસ્ટમના અવરોધોને દૂર કરવા માટે અહીં 'ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ' ચલાવવામાં આવશે. છેલ્લા 1 વર્ષમાં GIFT IFIH એ ડિજિટલ બેંકિંગ અને ઇન્સ્યોરટેક જેવા ક્ષેત્રોમાં 37 સ્ટાર્ટઅપ્સને સફળતાપૂર્વક સપોર્ટ કર્યો છે. હાઇબ્રિડ મોડલ અને મેન્ટરશિપઆ એક્સીલરેટર હાઇબ્રિડ ફોર્મેટમાં ચાલશે. શરૂઆતમાં ગિફ્ટ સિટી ખાતે રૂબરૂ ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યારબાદ વર્ચ્યુઅલ માધ્યમથી રોકાણકારો સાથે જોડાણ કરવામાં આવશે. ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે, આ પહેલ દ્વારા ઉચ્ચ ક્ષમતા ધરાવતા મહિલા સ્ટાર્ટઅપ્સને ટકાઉ વિસ્તરણ માટે જરૂરી પ્લેટફોર્મ અને એક્સેસ પૂરી પાડવામાં આવશે. અહીં સ્ટાર્ટઅપ્સને સ્ટ્રક્ચર્ડ મેન્ટરશિપ અને રોકાણકારો સાથે સીધી ચર્ચા કરવાની તક મળશે, જે ભારતના ફાઇનાન્શિયલ સેક્ટરને વધુ મજબૂત બનાવશે.
આજે ચૈત્ર સુદ નવમીના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિવસની વડોદરાના બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ‘મારા ભગવાનને, મારા વાસણમાં, મારો થાળ’ના મધ્યવર્તી વિચાર સાથે એક વિશેષ અને ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિભક્તોનો અતૂટ ઉત્સાહ અને ભક્તિ જોવા મળી હતી. ભક્તોના ભાવથી સજ્જ 3245 વાનગીઓનો અન્નકૂટઆ મહોત્સવની વિશેષતા એ હતી કે ભાવિક ભક્તો પોતપોતાના ઘરેથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવ્યા હતા. આ અન્નકૂટમાં કુલ 3245 પ્રકારના વ્યંજનો પીરસવામાં આવ્યા હતા, જેમાં 825 પ્રકારની મીઠાઈઓ અને 2050 પ્રકારના ફરસાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂકો મેવો, તાજા ફળો, મુખવાસ અને આધુનિક કેક જેવી વિવિધ સામગ્રીઓથી ભગવાનનો થાળ સજાવવામાં આવ્યો હતો. સવારે બરાબર 11.15 વાગ્યે સુંદર સજાવટ સાથે અન્નકૂટ ગોઠવીને પૂજ્ય સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. રામનવમી નિમિત્તે ભગવાન રામલલ્લાની આરતીસ્વામિનારાયણ જયંતિની સાથે આજે રામનવમીનો પણ મંગલકારી દિવસ હોવાથી, બપોરે 12.00 વાગ્યે મંદિર પરિસરમાં ભગવાન રામલલ્લાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજ્ય સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામજન્મોત્સવની ભવ્ય આરતી યોજાઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અન્નકૂટ અને ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતનું ‘બનાસ બાયો-સીએનજી’ મોડલ રાષ્ટ્રીય સ્તરે નવો માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત આ મોડલની સફળતા જોઈને દેશના 15 જેટલા રાજ્યો હવે આ દિશામાં આગળ વધી રહ્યા છે. આ પ્રોજેક્ટ ગાયના છાણ જેવા જૈવિક કચરાને સ્વચ્છ ઇંધણ અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરી ગ્રામીણ અર્થતંત્રમાં સમૃદ્ધિ લાવી રહ્યો છે. ગુજરાત સરકારનું 60 કરોડનું પ્રોત્સાહનરાજ્ય સરકારે આ નવીન પહેલને વેગ આપવા માટે બજેટમાં 60 કરોડની વિશેષ જોગવાઈ કરી છે. સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓ દ્વારા નવા પ્લાન્ટ સ્થાપવા માટે આ રકમ ફાળવવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં તબક્કાવાર 10 નવા બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે, જે ડેરી ક્ષેત્રને સ્વચ્છ ઊર્જાનું કેન્દ્ર બનાવશે. આર્થિક રીતે આત્મનિર્ભર મોડલબનાસકાંઠામાં છેલ્લા 6 વર્ષથી દૈનિક 40 મેટ્રિક ટન ગોબર પ્રોસેસિંગની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત છે. હાલમાં અન્ય 5 મોટા પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી 2 શરૂ થઈ ગયા છે. આશરે 50-55 કરોડના ખર્ચે તૈયાર થતો દરેક પ્લાન્ટ દૈનિક 100 મેટ્રિક ટન (1 લાખ કિલો) છાણને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મોડલ સાબિત કરે છે કે પર્યાવરણની જાળવણી સાથે આર્થિક પ્રગતિ પણ શક્ય છે. પશુપાલકોની આવકમાં વધારોઆ પ્રોજેક્ટ પશુપાલકો માટે વધારાની આવકનો સ્ત્રોત બન્યો છે. 20 કિમીની ત્રિજ્યામાં આવતા 20-25 ગામોના અંદાજે 400-450 પરિવારો પાસેથી 1 રૂપિયે કિલોના ભાવે છાણ ખરીદવામાં આવે છે. છાણના પરિવહન માટે 13 જેટલા ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ થાય છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારી પણ પેદા થઈ છે. વાર્ષિક 12 કરોડની આવકનો અંદાજઆ પ્લાન્ટ માત્ર ગેસ જ નહીં પરંતુ ખાતર દ્વારા પણ તગડી કમાણી કરે છે: બાયો-સીએનજી: દૈનિક 1,800 કિગ્રા ઉત્પાદન (ભાવ: 75 પ્રતિ કિગ્રા). ઘન જૈવિક ખાતર: 25 મેટ્રિક ટન (ભાવ: 6 પ્રતિ કિગ્રા). પ્રવાહી જૈવિક ખાતર: 75 મેટ્રિક ટન (ભાવ: 0.50 પ્રતિ કિગ્રા). આ ઉત્પાદનો થકી પ્લાન્ટને દૈનિક 3 લાખથી વધુ અને વાર્ષિક અંદાજે 12 કરોડની આવક થવાનો અંદાજ છે. ગ્રીન ગુજરાત તરફ મક્કમ ડગલાંપર્યાવરણની દૃષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ક્રાંતિકારી છે. આ મોડલ દ્વારા વાર્ષિક આશરે 6,750 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. સ્વચ્છ બળતણ અને રસાયણમુક્ત જૈવિક ખાતરનો આ સમન્વય ગુજરાતના ‘ગ્રીન સ્ટેટ’ના સંકલ્પને વધુ મજબૂત બનાવી રહ્યો છે.
'છોટી કાશી' તરીકે જાણીતા જામનગરમાં રામનવમીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત અખંડ રામધૂન માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા બાલા હનુમાન મંદિરમાં ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય મહોત્સવ અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવાયો. બપોરે બરાબર 12 વાગ્યે, ભગવાન શ્રીરામના જન્મ સમયે, મંદિરમાં શંખનાદ અને ઝાલરના રણકાર સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભગવાનને વિશેષ શણગાર અને આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉજવણી દરમિયાન સમગ્ર મંદિર પરિસર 'શ્રી રામ જય રામ જય જય રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો અને વડીલો સહિતના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે ભગવાન રામની ધૂન ગાવામાં આવી, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે રામમય બની ગયું હતું. મહાઆરતીના સમાપન બાદ તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બાલા હનુમાન મંદિર ઉપરાંત, રામનાથ મંદિર ખાતે પણ ભગવાનના પ્રાગટ્યની શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના ભક્તો માટે આ દિવસ આસ્થા અને શ્રદ્ધાનો અનેરો અવસર બની રહ્યો, જ્યાં ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લઈ સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, બાલા હનુમાન મંદિરમાં વર્ષોથી ચાલતી અખંડ રામધૂન વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, અને રામનવમી જેવા પર્વો પર અહીંની ભવ્યતા અનેરી હોય છે.
ભાવનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી બાદ બે દિવસ પૂર્વે યોજાયેલા વિજય સરઘસ દરમિયાન સર્જાયેલી ઘટના હવે ચર્ચાનો વિષય બની છે. અનિરુદ્ધસિંહ ઝાલાના સમર્થનમાં ભાવનગર સહિત ગુજરાતના અનેક બાર એસોસિએશનો એકજૂટ થયા છે અને મુદ્દાને વહેલી તકે શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની માંગ ઉઠાવી રહ્યા છે. સાથે જ કોઈપણ વકીલ અથવા અનિરુદ્ધસિંહ ઝાલા સામે કોઈ કાર્યવાહી ન થાય તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યુડિશિયરી અને વકીલ વચ્ચે થોડી ગેરસમજણ થઈ હતી- હિરેન જાનીઆ અંગે ભાવનગર બાર એસોસિએશન પ્રમુખ હિરેન જાનીએ જણાવ્યુ હતુ કે, ગઈ તારીખ 24મીના રોજ જ્યુડિશિયરી અને વકીલો વચ્ચે થોડી ગેરસમજણ થય હતી, જે બાબતે આજરોજ ભાવનગર બાર એસોસિએશન દ્વારા સર્ક્યુલેટિંગ ઠરાવથી આ બનાવ બાબતે સ્પષ્ટ શબ્દોમાં પ્રતિપાદિત કરવામાં આવેલું છે કે, ભાવનગર બાર એસોસિએશન હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાયેલા અનિરુદ્ધસિંહ ઝાલા, કે જેઓ વિજય સરઘસ કાઢી રહ્યા હતા તેમાં જે કોઈ પ્રકારના બનાવો બનેલ છે તે માત્ર ગેરસમજણથી બનેલ છે એવું અમે માનીએ છીએ.બીજું, બાર અને બેન્ચ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે એવી લાગણી પણ અમે વ્યક્ત કરીએ છીએ. 'આ ઈસ્યુનો ઝડપથઈ શુખદ અને શાંતિપૂર્ણ અંત લાવવો જોઈએ'સાથે સાથે અમે એવું પણ ઇચ્છીએ છીએ કે જ્યુડિશિયરી અને વકીલો સામસામે ન આવી જાય એ પણ જોવું ખૂબ જ જરૂરી છે. જ્યુડિશિયરીમાં આજે જજ બનેલા વ્યક્તિઓ પણ ગઈકાલે વકીલો જ હતા અને વકીલો છે એ પાર્ટ ઓફ જ્યુડિશિયરી છે. વકીલો પોતે પણ જ્યુડિશિયલ ઓફિસરો છે, એમને પણ પોતાની ગરિમા હોય છે અને જ્યુડિશિયલ ઓફિસરો સાથે કેવી રીતે વાણી, વર્તન અને વ્યવહાર કરવો એ પણ સારી રીતે જાણતા જ હોય છે.પણ ક્યારેક કોઈપણ સમયે કોઈપણ બાબતમાં ગેરસમજણો ઊભી થતી હોય એવામાં આ પ્રકારની ગેરસમજણ ઉભી થઇ છે. અમે એવી લાગણી વ્યક્ત કરીએ છીએ કે આ ઇસ્યુને વધારે પડતો ચગાવવાના બદલે, આ ઇસ્યુનો ઝડપથી સુખદ, શાંતિપૂર્ણ અને ગરિમાપૂર્ણ રીતે પ્રશ્નનું નિરાકરણ આવે અને આ ઇસ્યુ વહેલી તકે પૂરો થાય એવી અમે લાગણી વ્યક્ત કરીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે, અનિરુદ્ધસિંહ ઝાલાના સમર્થનમાં ભાવનગર બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન અને એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશન તથા સાથે સાથે ગુજરાતના ઘણા બધા બાર એસોસિએશન દ્વારા પણ સમર્થન આપવામાં આવેલું છે. અમારી લાગણી માત્ર એવી છે કે આ ઇસ્યુ વહેલી તકે પૂરો થાય અને વિશેષમાં કોઈપણ પ્રકારની કોઈપણ વકીલો કે અનિરુદ્ધસિંહ ઝાલા પર પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થાય એવી અમે લાગણી વ્યક્ત કરીએ છીએ. શું છે સમગ્ર મામલો? ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું 24 માર્ચે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દૃશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)
હિંમતનગરના મહેતાપુરામાં શ્રીરામદૂત શક્તિ મંડળ અને સમસ્ત હિંદુ સમાજ દ્વારા 42મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વિસ્તારના મુખ્ય માર્ગો પર ફરીને રામજી મંદિરે પહોંચી સમાપ્ત થઈ હતી. શ્રી રામદૂત શક્તિ મંડળ દ્વારા આ સતત 42મી રામનવમી શોભાયાત્રા હતી. તે ગુરુવાર, 26 માર્ચે ત્રિવેણી વિદ્યાલય પાસે આવેલા મંગલમૂર્તિ હનુમાનજી મંદિરેથી ડીજે સાથે પ્રસ્થાન કરી હતી. યાત્રા પ્રાથમિક શાળા, ત્રિવેણી વિદ્યાલય અને સ્વામી વિવેકાનંદ સર્કલ થઈને રામજી મંદિર પહોંચી હતી. રામજી મંદિરે પહોંચ્યા બાદ આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ શોભાયાત્રાનું સમાપન થયું હતું. આ શોભાયાત્રામાં સ્થાનિક ભાઈઓ-બહેનો, અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી વડોદરા-ગોરખપુર અને વડોદરા-મઉ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના સમયગાળાને લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. વેકેશન અને આગામી સમયમાં રહેનારા વધારાના ધસારાને પહોંચી વળવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ગોરખપુર અને મઉ ટ્રેનોનું શિડ્યુલવડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ માહિતી આપતા જણાવ્યું કે, ટ્રેન નં. 09111 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ હવે 27 જુલાઈ, 2026 સુધી કાર્યરત રહેશે. જ્યારે પરતમાં ટ્રેન નં. 09112 ગોરખપુર-વડોદરા સ્પેશિયલ 29 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09195 વડોદરા-મઉ સ્પેશિયલ 25 જુલાઈ, 2026 સુધી દોડશે અને ટ્રેન નં. 09196 મઉ-વડોદરા સ્પેશિયલને 26 જુલાઈ, 2026 સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.
ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિરાકરણ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્યત્વે જમીન સંબંધિત પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવા, માલિકીની જમીનમાં રસ્તો ખુલ્લો કરાવવા, ગૌચર જમીનનું રક્ષણ કરવા અને સીમ વિસ્તારના રસ્તાઓ અંગેની રજૂઆતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગ્રામપંચાયત સ્તરના વિકાસકાર્યોમાં આવતી મુશ્કેલીઓ, અનધિકૃત બાંધકામના પ્રશ્નો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાયના હપ્તા ન મળવા અંગેની ખેડૂતોની ફરિયાદો પણ સામે આવી હતી. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે દરેક અરજદારની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કલેક્ટર ઉપાધ્યાયે ભારપૂર્વક જણાવ્યું કે, જનતાની સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવો એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે અને તેમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ સહન કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં ફેબ્રુઆરી માસમાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમના બાકી રહેલા પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે લાંબા સમયથી વણઉકેલાયેલા કેસોમાં ગતિ લાવવા માટે અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. સ્વાગત કાર્યક્રમ નાગરિકોને સીધા જિલ્લા તંત્ર સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક પૂરી પાડે છે. આ પ્રણાલીથી પારદર્શકતા વધે છે અને અરજદારોને તાત્કાલિક પ્રતિસાદ મળતા તંત્ર પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બને છે. કાર્યક્રમમાં હાજર રહેલા અનેક અરજદારોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે સકારાત્મક પ્રતિસાદ મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો અને જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર સહિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગત કાર્યક્રમ તંત્ર અને જનતા વચ્ચેના સેતુ સમાન છે, જ્યાં પ્રશ્નો માત્ર સાંભળવામાં જ નહીં, પરંતુ તેના ઉકેલ માટે ચોક્કસ કાર્યવાહી પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.
આજે 26 માર્ચના રોજ સુરતમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત 116 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસકર્મીઓના કામના કલાકો ઘટાડીને 8 કલાક કરવાની ભલામણ કરી હતી. તો સામી બાજુ હર્ષ સંઘવીએ પોલીસ પરિવારોને સંબોધતા કહ્યું કે, પોલીસવાળાની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ, ઘરે નહિ. તમારાથી ન સુધરે તો મને કહેજો, આમ રમૂજી અંદાજમાં ટકોર કરી હતી. 70થી 80% કર્મચારીઓને ફિક્સ ડ્યુટી આપી શકાય તેમ છેઃ પાટીલકાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેર મંચ પરથી પોલીસકર્મીઓના હિતમાં એક મહત્વની વાત મૂકી હતી. તેમણે હર્ષ સંઘવીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ અત્યારે 8 કલાકથી વધુ સમય સુધી નોકરી કરે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવન પર માઠી અસર પડે છે. જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે તો 70થી 80% કર્મચારીઓને 8 કલાકની ફિક્સ ડ્યુટી આપી શકાય તેમ છે. સમયની અનિયમિતતાને કારણે પોલીસ જવાનો માનસિક તણાવ અને અનેક બીમારીઓનો શિકાર બને છે, જેમાંથી તેમને મુક્તિ અપાવવી જરૂરી છે. વર્તનમાં સુધારો અને 'May I Help You'નો કિસ્સોપોતાના પોલીસ સર્વિસના દિવસો યાદ કરતા પાટીલે જણાવ્યું કે, પહેલા પોલીસ સ્ટેશનોમાં 'May I Help You'ના બોર્ડ માત્ર મજાક લાગતા હતા, કારણ કે મદદ કરવાની માનસિકતા ઓછી હતી, પરંતુ હવે સમય બદલાયો છે. પોલીસ જવાનો પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન થયા છે. તેમણે ઉમેર્યું કે, સમાજ પણ પોલીસ પાસે અપેક્ષા રાખે છે કે, તેમનું વાણી અને વર્તન સભ્ય હોય. અસભ્ય વર્તનની ફરિયાદોમાં હવે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે, જે પોલીસ દળ માટે ગૌરવની વાત છે. પોલીસ પરિવારોના કલ્યાણ પર ભારકાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ જવાનોના પરિવારના કલ્યાણ પર વિશેષ ભાર મૂક્યો હતો. પાટીલે જણાવ્યું કે, જ્યારે પોલીસ જવાન માનસિક રીતે શાંત હશે, ત્યારે જ તે સમાજની સેવા વધુ સારી રીતે કરી શકશે. પોલીસ આવાસ નિગમ દ્વારા જે રીતે ઝડપથી અને ગુણવત્તાયુક્ત બાંધકામ કરવામાં આવ્યું છે, તેનાથી પોલીસ જવાનોના જીવનધોરણમાં મોટો સુધારો આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દબંગગીરી ઘરમાં નહીં ચાલે, હર્ષ સંઘવીની ટકોર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારોની બહેનોને સંબોધતા હળવા અંદાજમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો. તેમણે કહ્યું કે, પોલીસની દબંગગીરી માત્ર પોલીસ સ્ટેશન સુધી જ સીમિત રહેવી જોઈએ, ઘરમાં નહીં. જો કોઈ પોલીસકર્મી સોસાયટીમાં મોડીરાત સુધી બેસી રહે કે પાનની પિચકારીઓ મારે, તો તેમને સીધા કરવાની જવાબદારી તેમના પરિવારની છે. તેમણે રમૂજમાં ઉમેર્યું કે, જો તમારાથી સીધા ન થાય તો મને કહેજો, હું વ્યવસ્થા કરી આપીશ. સુરતમાં 116 કરોડના પોલીસ આવાસનું લોકાર્પણઆ પ્રસંગે સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસકર્મીઓ માટે તૈયાર કરાયેલા આધુનિક આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પીપલોદ પોલીસ લાઈન ખાતે 192 ક્વાર્ટર્સ, હોર્સ રાઈડિંગ સ્કૂલ અને લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું હતું. આ ઉપરાંત રાંદેર પોલીસ લાઈન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, ACP જે-ડિવિઝન ઓફિસ અને લાજપોર જેલ ખાતેના વિવિધ બાંધકામો સહિત કુલ 116 કરોડના પ્રોજેક્ટ્સ જનતા અને પોલીસ દળને અર્પણ કરવામાં આવ્યા હતા. મરીન ટાસ્ક ફોર્સ અને આધુનિક સુવિધાઓસુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં કક્ષા-બી, સી અને ડી પ્રકારના કુલ 64 આવાસો, એડમિન બ્લોક, ક્લબ હાઉસ અને બેરેકનો સમાવેશ થાય છે. પોલીસ જવાનોને રહેવા માટે સુવિધાયુક્ત મકાનો મળે તે હેતુથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ સપનાના ઘરો પોલીસકર્મીઓના જીવનમાં નવી ખુશીઓ લાવશે. શિસ્ત અને સેવા પર વિશેષ માર્ગદર્શનઅંતમાં, હર્ષ સંઘવીએ તમામ પોલીસ જવાનોને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા અને લોકો સાથેના વ્યવહારમાં નમ્રતા રાખવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, સરકાર પોલીસના કલ્યાણ માટે કટિબદ્ધ છે, પરંતુ તેની સામે પોલીસ દળ પાસે શિસ્ત અને પ્રમાણિકતાની અપેક્ષા પણ રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ પરિવારો હાજર રહ્યા હતા.
માણસા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિજાપુર ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી ફિલ્મી ઢબે પીછો કરી રૂ.1.13 લાખથી વધુની કિંમતના દારૂની 238 બોટલોના જથ્થા સાથે કારને ઝડપી લઇ કુલ રૂ.3.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માણસામાં વિદેશી દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી મળીમાણસા પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા PI રાકેશ ડામોરની ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, એક ગ્રે કલરની શેવરોલે સીડાન ગાડી (નંબર GJ-06-DQ-4770) વિજાપુર તરફથી માણસામાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહી છે. પોલીસે ફિલ્મી ઢબે બૂટલેગરનો પીછો કરી દારૂ ભરેલી કાર પકડી પાડીઆ બાતમીના આધારે પોલીસે વિજાપુર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે કાગડોળે રાહ જોયા પછી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે માણસા શહેર તરફ ભગાવી દીધી હતી. જેના પગલે પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો શરૂ કર્યો હતો. વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીપોલીસથી બચવા માટે ચાલકે ગાડી માલણવાસ થઈ પાંજળાપોળ ચોક તરફ દોડાવી હતી. જોકે પાંજળાપોળ ચોક નજીક પહોંચતા જ અંધારાનો લાભ લઈને ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ ચાલકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગાડીની તપાસ દરમિયાન ગાડીનો આગળનો બમ્પર તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં ગાડીની તલાશી લેતા તેમાંથી 1.30 લાખથી વધુની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 238 બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ગાડી સહિત કુલ 3,13,450નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં ગતરોજ એક શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના બની હતી. રમતા-રમતા બે વર્ષનું માસૂમ બાળક બેડરૂમમાં લોક થઈ જતાં પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, વેસુ ફાયર સ્ટેશનની ટીમે સમયસૂચકતા વાપરી બાળકને ગણતરીની મિનિટોમાં સહી-સલામત બહાર કાઢ્યું હતું. બાળક ડરના માર્યા જોરજોરથી રડવા લાગ્યુંમળતી માહિતી પ્રમાણે, વેસુ વીઆઈપી રોડ પર આવેલા અતિ આધુનિક અને લક્ઝુરિયસ 'સેવન હેવન' એપાર્ટમેન્ટના આઠમા માળે એક પરિવાર રહે છે. તેમનો બે વર્ષનો પુત્ર બેડરૂમમાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. પરિવારે દરવાજો ખોલવા ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ સફળતા મળી નહોતી. બીજી તરફ, અંદર એકલું અટવાયેલું બાળક ડરના માર્યા જોરજોરથી રડવા લાગતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. બાળકની મથામણ અને તેના રડવાનો અવાજ સાંભળી પરિવારજનોની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો હતો. ફાયર જવાને દરવાજો તોડી બાળકનું રેસ્ક્યૂ કર્યુંસ્થિતિ વણસતા પરિવારે વિલંબ કર્યા વગર તુરંત સુરત ફાયર વિભાગને જાણ કરી હતી. કંટ્રોલ રૂમનો મેસેજ મળતા જ વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત ખલાસી અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તરત જ દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. વ્યાવસાયિક કુશળતાનો ઉપયોગ કરી દરવાજો તોડીને બાળકને સહી-સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. બાળક હેમખેમ બહાર આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધોજ્યારે બાળક બહાર આવ્યું ત્યારે તે ખૂબ જ રડતી હાલતમાં હતું, જેને જોઈને પરિવારજનો ભાવુક થઈ ગયા હતા. માતા-પિતાએ બાળકને તુરંત તેડી લઈને શાંત પાડ્યું હતું. પોતાના વ્હાલસોયાને સુરક્ષિત જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલા ફાયર વિભાગના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા, જેના કારણે મંદિરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું, અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. ચૈત્રી નવરાત્રિની આઠમના પાવન દિવસે દાંડિયા બજાર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી છવાઈ ગયો હતો. શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક માહોલમાં આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જ હેઠળ આવતાં રામપરા ગામમાં વન વિભાગની સતર્કતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. પોતાની માતા સાથે ફરી રહેલું આશરે એક વર્ષનું સિંહબાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબકતાં અફરાતફરી મચી હતી, પરંતુ વન વિભાગની ટીમે ગણતરીના કલાકોમાં સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડી સિંહબાળને નવજીવન આપ્યું છે. કૂવામાંથી આવતાં અવાજો સાંભળી ખેડૂતે વન વિભાગને જાણ કરી રામપરા ગામના ખેડૂત રાઠોડ સરમણ લખમણભાઈની વાડીમાં આવેલા પાણી ભરેલા કૂવામાં વહેલી સવારે એક સિંહબાળ પડી ગયું હોવાની જાણ થઈ હતી. કૂવામાંથી આવતાં અવાજો સાંભળી ખેડૂતે તુરંત વન વિભાગને જાણ કરી હતી. સવારે અંદાજે 8:00 વાગ્યે ઘટનાની જાણ થતા જ જૂનાગઢ વન વિભાગની વેરાવળ રેન્જનો સ્ટાફ, વનપાલ, વનરક્ષકો અને ટ્રેકરોની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પડકારજનક રેસ્ક્યૂ ઓપરેશન કૂવો ઊંડો અને પાણીથી ભરેલો હોવાથી રેસ્ક્યૂ કામગીરી અત્યંત પડકારજનક હતી. વન વિભાગની ટીમે સ્થાનિક સૂઝબૂઝ વાપરીને કૂવામાં ખાટલો અને દોરડા ઉતાર્યા હતા, જેથી સિંહબાળ તેના પર સહારો લઈ શકે. ખૂબ જ સાવચેતીપૂર્વક સિંહબાળને ઈજા ન થાય તે રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશન દરમિયાન વન્યજીવ પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રોફેશનલ એપ્રોચ જોવા મળ્યો હતો. સારવાર અને પુનઃ મિલનની તજવીજ સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ, સિંહબાળને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે સીમર એનિમલ રેસ્ક્યૂ સેન્ટર (હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યું છે. વેટરનરી ડોક્ટરો દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, સિંહબાળ હાલ સ્થિર છે. તેની ઈજાઓ તપાસ્યા બાદ અને તે સંપૂર્ણ સ્વસ્થ જણાશે એટલે તેને ફરીથી તેની માતા (સિંહણ) સાથે મિલન કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખુલ્લા કૂવાઓ હજુ પણ જોખમી આ ઘટનાએ ફરી એકવાર ગીરના સરહદી વિસ્તારોમાં આવેલા ખુલ્લા કૂવાઓનો પ્રશ્ન ગંભીર બનાવ્યો છે. સિંહોની વધતી સંખ્યા વચ્ચે ખેતરોમાં આવેલા ખુલ્લા કૂવા વન્યજીવો માટે મોતનો ફાંદ સાબિત થઈ રહ્યા છે. જોકે, વન વિભાગની સમયસૂચકતાને કારણે આજે એક મોટી દુર્ઘટના ટળી છે, જેની ગ્રામજનોએ પણ મુક્તકંઠે પ્રશંસા કરી છે.
હું ટીબીનો દર્દી છું, મારી દવાઓ અને પંપ પણ રાખવો પડે છે, બાકી હું કલાકાર વર્ષોથી છું : ખુશાલ વાઘેલાનો બચાવ રાજકોટ મહાપાલિકામાં સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવાની પ્રક્રિયા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. જેમાં મેડિકલ સર્ટિફિકેટના આધારે શારીરિક રીતે અક્ષમ ગણાવીને મંજૂર કરવામાં આવેલા 136 રાજીનામાઓ સામે રાજકોટ કામદાર યુનિયને આક્રમક વલણ અપનાવ્યું છે. મનપા દ્વારા અનફિટ જાહેર સફાઈ કામદારનાં ડાન્સિંગ વિડીયો વાયરલ થયા છે. જેને લઈને કામદાર યુનિયને બોગસ મેડિકલ સર્ટીનાં આધારે રાજીનામાં મંજુર થયાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. અને યુનિયને આખી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ હોવાનાં આક્ષેપ સાથે મ્યુ. કમિશ્નર તેમજ વહીવટદાર સહિત છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરીને મંજુર થયેલા તમામ રાજીનામાં મુદ્દે ફરી ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. જોકે સમગ્ર મામલે જેના ઉપર આરોપ છે તે ખુશાલ વાઘેલાએ પોતે વર્ષોથી ટીબીનાં દર્દી હોવાનો અને દવાઓ તેમજ પંપનાં આધારે જીવતા હોવાનો બચાવ કરી પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કાયમી સફાઈ કામદારોના વારસદારોને નોકરીમાં સમાવવા માટે 'સ્વૈચ્છિક રાજીનામા'ની યાદી જાહેર કરવામાં આવી હતી. નિયમ મુજબ, જો કોઈ સફાઈ કામદાર શારીરિક રીતે કામ કરવા માટે સક્ષમ ન હોય (મેડિકલી અનફિટ), તો તે પોતાના વારસદારને નોકરી સોંપીને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. આ પ્રક્રિયા હેઠળ કુલ 206 કામદારોએ અરજી કરી હતી, જેમાંથી 136 સફાઈ કામદારોના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે 70 જેટલા કેસો નામંજૂર થયા છે. 'અનફિટ' કામદારનાં ડાન્સ વીડિયો જાહેર કરાયા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું હતું કે, જે 136 રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે, તેમાં અનેક એવા કામદારો છે જે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ખુશાલ શાંતિલાલ વાઘેલા નામના સફાઈ કામદાર ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આ એ જ સફાઈ કામદાર છે જેણે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને પોતે શારીરિક રીતે અક્ષમ હોવાનું જણાવી રાજીનામું મંજૂર કરાવ્યું છે. મારો સવાલ છે કે, જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે એટલી હદે અક્ષમ હોય કે તે કચરો ન વાળી શકે, તો તે આટલો ઉત્સાહથી ડાન્સ કેવી રીતે કરી શકે છે ? આ સફાઈ કામદાર દ્વારા આપવામાં આવેલું રાજીનામુ અગાઉ નામંજૂર થયું હતું. પણ તાજેતરમાં અચાનક મંજુર કરી દેવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકામાં 2021થી આ પ્રક્રિયા અટવાયેલી હતી. તાજરતારમાં યાદી જાહેર કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે સેટિંગ દેખાઈ રહ્યું છે. જેઓ ખરેખર બીમાર છે અને લાકડીના ટેકે ચાલે છે, તેવા 70 જેટલા કામદારોના રાજીનામા નામંજૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, જે હૃષ્ટ-પુષ્ટ છે અને ડાન્સ કરી રહ્યા છે, તેમના રાજીનામા મંજૂર કરી દેવાયા છે. આ બાબત સૂચવે છે કે નાણાકીય વ્યવહાર કરી કોઈ બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે આ ખેલ ખેલાયો છે. યુનિયન દ્વારા આ મામલે મ્યુ. કમિશનર, વહીવટદાર રેમ્યાબેન મોહન અને રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અમારી સ્પષ્ટ માંગ છે કે, મંજૂર થયેલા તમામ 136 કેસોની નિષ્પક્ષ અને ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે. જેમાં તમામ સફાઈ કામદારોના મેડિકલ સર્ટિફિકેટની ફરી તપાસ કરવામાં આવે, જરૂર પડે તો અન્ય હોસ્પિટલમાં રી-ચેકઅપ કરાવવામાં આવે. એટલું જ નહીં બોગસ સર્ટિફિકેટ આપનાર ડોક્ટરો અને ગેરરીતિમાં સંડોવાયેલા મનપાના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. જો અમારી માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જેના ઉપર બોગસ મેડિકલ સર્ટી રજૂ કરવાનો આરોપ છે તેવા ખુશાલ વાઘેલાએ તમામ આરોપો ફગાવ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી ટીબીની દવાઓ લઉ છું. મારે નિયમિત દવાઓ લેવી પડે છે અને પંપ પણ સાથે રાખવો પડે છે. આ હકીકતને લગતા દસ્તાવેજોને રજૂ કર્યા બાદ મારૂ રાજીનામુ મંજુર કરવામાં આવ્યું છે. ત્યારે તેમાં ગેરરીતિનો કોઈ સવાલ નથી. હું વર્ષોથી એક સફાઈ કામદાર હોવાની સાથે કલાકાર પણ છું. આ માટે નાના-મોટા સ્ટેજ શોમાં ભાગ લેતો હોવ છું. પરંતુ તેનો મતલબ એવો નથી કે હું સ્વસ્થ છું. આ માટેના પુરાવા પણ તેમણે રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડના આક્ષેપોએ મનપાના તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. જોકે ખુશાલ વાઘેલાએ તમામ આરોપો ફગાવી પોતે ટીબીના દર્દી હોવાનું જણાવ્યું છે. ત્યારે આ મામલે સાચી હકીકત તપાસ બાદ જ સામે આવશે. પરંતુ યુનિયનના આક્ષેપો સાચા ઠરે, તો સરકારી તંત્રમાં વચેટીયાઓ તેમજ ભ્રષ્ટ અધિકારીઓ સક્રિય હોવાનું સાબિત થશે. હાલ યુનિયને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ કોર્ટના દ્વાર પણ ખખડાવશે. મનપા તંત્રની તપાસમાં શુ હકીકત સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ અમદાવાદથી લઈને ડીસા સુધી અનેક મહત્વના વિકાસકાર્યોમાં ભાગ લેશે. સવારે 9:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગરના કોબા તીર્થ જશે, જ્યાં તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે જૈન મુનિ પદ્મસાગર સુરીશ્વરજીની હાજરી રહેશે, જેમણે આ મ્યુઝિયમ પ્રોજેક્ટને પ્રેરણા આપી છે. આ મ્યુઝિયમ જૈન ઇતિહાસ અને સંસ્કૃતિને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થયું છે. ડીસામાં જાહેરસભાને સંબોધશેત્યારબાદ બપોરે 12:30 વાગ્યે પીએમ સાણંદ પહોંચશે, જ્યાં તેઓ Kaynes Semicon પ્રોજેક્ટને ખુલ્લો મૂકશે. આ પ્રોજેક્ટ ગુજરાતને સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે તેવી આશા છે. બપોર બાદ 4 વાગ્યે પીએમ મોદી ડીસા પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગે નાણી ગામના સભાસ્થળે જશે. અહીં તેઓ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ભાગ લેશે તથા વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે. સાંજના 5.30એ આસામ રવાના થશેકાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ સાંજે 5:30 વાગ્યે પીએમ મોદી ડીસાથી આસામ જવા રવાના થશે. પીએમના આ વ્યસ્ત કાર્યક્રમને લઈને રાજ્યમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન ધાર્મિક, ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ક્ષેત્રના પ્રોજેક્ટ્સને ગતિ મળતા ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ બળ મળશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સંઘવીએ સ્થળની મુલાકાત કરી સમીક્ષા કરીગાંધીનગરના કોબા તીર્થ ખાતેના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં સ્થળની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. સુરક્ષા તથા વ્યવસ્થાની વ્યવસ્થા અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં ધાર્મિક કથાઓ દર્શાવતા ચિત્રોનો સમૃદ્ધ સંગ્રહસમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં પદ્મ સાગર સુરિશ્વર મહારાજના પદવિહારના અનુભવોને આધારે વિવિધ દસ્તાવેજો અને સ્મૃતિચિહ્નો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમણે જીવન દરમિયાન લગભગ 2.5 લાખ કિલોમીટરનો પદવિહાર કર્યો હતો, જે જૈન પરંપરામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મ્યુઝિયમમાં મહારાજના હસ્તપ્રત ગ્રંથો, વિગ્નપ્તિ પત્રો, પ્રતિમાઓ, બ્રાસ કલા, તેમજ ધાર્મિક કથાઓ દર્શાવતા ચિત્રોનો સમૃદ્ધ સંગ્રહ રાખવામાં આવ્યો છે. તપશ્ચર્યાની પરંપરા અને આધ્યાત્મિક વારસાની ઝાંખીઆ પ્રદર્શન દ્વારા જૈન ધર્મની પરંપરા, તપશ્ચર્યાની પરંપરા અને આધ્યાત્મિક વારસાની ઝાંખી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાતને પગલે ગાંધીનગરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જો મુલાકાત નિશ્ચિત થશે તો મહાવીર જન્મ કલ્યાણકના દિવસે આ કાર્યક્રમ જૈન સમાજ માટે વિશેષ મહત્વનો બનશે.
પાટણમાં નવી રાણકીવાવ પોલીસચોકીનું ભૂમિપૂજન:DYSP કે.કે. પંડ્યાએ રામનવમીના દિવસે ખાતમુહૂર્ત કર્યું
પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવાના હેતુથી નવી રાણકીવાવ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે. કાળકા મંદિર સામે, રાણકીવાવ રોડ પર આ ચોકીનું ભૂમિપૂજન DYSP કે.કે. પંડ્યાના હસ્તે રામનવમીના પવિત્ર દિવસે કરવામાં આવ્યું હતું. આ નવી પોલીસ ચોકી પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવશે. પ્રવાસન અને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા કાળકા મંદિર સામે, રાણકીવાવ રોડ પર તેનું નિર્માણ થશે. આ પ્રસંગે DYSP કે.કે. પંડ્યા સાથે એ ડિવિઝન પીઆઇ કે.જે. ભોંય પણ ઉપસ્થિત રહ્યા હતા. રામનવમીના શુભ અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ચોકી રાણકીવાવ વિસ્તારમાં પ્રવાસીઓની સતત અવરજવર, સ્થાનિક ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત પ્રશ્નોના નિરાકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સિદ્ધપુરના DYSP કે.કે. પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી આ ચોકી આશરે 20 લાખ રૂપિયાના ખર્ચે બનશે. તે એક માળનું, ત્રણ રૂમ ધરાવતું ભવન હશે. આ ચોકીમાં એક PSI, ત્રણ હેડ કોન્સ્ટેબલ અને દસ પોલીસ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે.
SRPમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરને નિવૃત્તિ બાદ પત્ની, દીકરા અને સાળીએ ત્રાસ આપતા આપઘાત કર્યો છે. નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટરે બોલેરો પીકઅપ ડાલામાં ઝેર પીને આપધાત કરી લીધો છે. નિવૃત્તિ બાદ પોલીસ ઈન્સ્પેક્ટરને પત્ની જમવાનું આપતી નહોતી અને દીકરો માર મારતો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિવૃત્ત PIના ભાઈએ ભાભી-દીકરા અને સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીચાંદલોડીયા વિસ્તારમાં આવેલા રામબાગ આવાસ યોજનાના મકાનમાં રહેતા નરેશ પરમારે સોલા પોલીસ સ્ટેશનમાં કૈલાસ પરમાર, મનોજ પરમાર ( રહે, સહજાનંદ સ્પર્શ, ગામ પેથાપુર, જીલ્લો ગાંધીનગર), ઉષા પરમાર વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે. નરેશ પરમાર સંયુક્ત પરિવારમાં રહે છે અને સિનિયર સિટીઝનની સેવાચાકરી કરે છે. નરેશ પરમારના મોટાભાઈ જ્યંતિભાઈ પરમાર પેથાપુર સહજાનંદ સ્પર્શમાં રહેતા હતા. જંયતિભાઈ વર્ષ 2020માં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિવૃત થયા હતા અને તેમની પત્નીનું નામ કૈલાસબેન તેમજ દીકરાનું નામ રજની અને મનોજ છે. બંને દીકરા માટે ફ્લેટ ખરીદ્યા હતાજ્યંતિભાઈ નિવૃત થયા ત્યારથી વર્ષ 2022 સુધી તેમને ઘરમાં સારી રીતે રાખવામાં આવતા હતા. જ્યારે તે પોલીસ ઈન્સ્પેક્ટર હતા ત્યારે તે સેક્ટર 28માં સરકારી ક્વોટર્સમાં રહેતા હતા. ત્યારબાદ તેમને બંને દીકરાઓ માટે બે ફ્લેટ ખરીદી કર્યા હતા. એક ફ્લેટ કૈલાસબેનના નામે સંયુક્તમાં લીધો હતો જ્યારે બીજો ફ્લેટ રજનીના નામે લીધો હતો.જ્યંતિભાઈના સાળી ઉષા પણ અવારનવાર ઘરે અવરજવર કરતી હતી. દીકરો મારઝૂડ કરતો હતોવર્ષ 2022થી જ્યંતિભાઈને ઘરમાં પત્ની, દીકરો તેમજ સાળી સરખી રીતે રાખતા નહોતા. ત્રણેય લોકો જ્યંતિભાઈને માનસિક રીતે ટોર્ચર કરીને કહેતા હતા કે આ નિવૃત્ત થઈ ગયો છે કોઈ કામધંધો કરતો નથી. જેથી તેને ઘરમાંથી કાઢી મુકો. જયંતિભાઈને ત્રાસ એટલો આપતા હતા કે તેઓ કંટાળી ગયા હતા. દીકરો મનોજ અવારનવાર દારૂ પીને આવતો હતો અને તેમની સાથે મારઝુડ કરતો હતો. પેંશનની રકમ આપી દેવા દબાણ કરતા હતાવર્ષ 2022માં સોનાનું કડુ લેવા મામલે કૈલાસબેને જયંતિભાઈ સાથે તકરાર કરી હતી, જેમા મનોજ અને ઉષાએ પણ તેમનો સાથ આપ્યો હતો. જ્યંતિભાઈના પગ તોડાવી નાખવાની પણ ધમકીઓ પત્ની સહિતના લોકોએ આપી હતી. જ્યંતિભાઈ તેના ભાઈ નરેશને સમગ્ર હકીકત જણાવતા હતા. આ સિવાય કૈલાસબેન સહિતના લોકોએ જયંતિભાઈને પેંશનની રકમ આપી દેવા દબાણ કરતા હતા. જ્યંતિભાઈનું અપમાન કરીને ઘરમાંથી કાઢી મુકતા હતા. જંયતિભાઇએ બોલેરો પીકઅપ ડાલામાં બેસીને ઝેરી પી લીધુંજયંતિભાઈ નરેશના ઘરમાં બે મહિના સુધી રહેતા હતા અને દરમિયાનમાં તેમની આપવીતી જણાવતા હતા. જ્યંતિભાઈ અવારનવાર તેની બહેન અને ભાઈઓના ઘરે રોકાતા હતા. જ્યારે કૈલાસબેન સહિતના લોકો તેના પર ત્રાસ ગુજારતા હતા. કૈલાસબેન જયંતિભાઈને જમવાનું પણ આપતા નહી અને ઘરમાંથી કાઢી મુકતા હતા. આ સિવાય મનોજ આરોપ મુકતો હતો કે તેમણે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. કૈલાસબેન જયંતિભાઈના ચારિત્ર્ય પર શંકા કરીને માર મારતા હતા. બે દિવસ પહેલા જયંતિભાઈ નરેશના ઘરમાં હતા ત્યારે તેમને સ્યુસાઈડ નોટ લખીને આપધાત કરી લીધો છે. જ્યંતિભાઈએ ચાંદલોડીયા બોલેરો પીકઅપ ડાલામાં બેસીને ઝેર પી લીધુ હતું. સોલા પોલીસે આ મામલે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે.
મોરબી વિદ્યુત સ્મશાનમાં ₹32 લાખના હોલનું લોકાર્પણ:રામનવમીએ સત્સંગ માટે નવો રામધૂન હોલ ખુલ્લો મુકાયો
મોરબીના લીલાપર રોડ પર આવેલા શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના પવિત્ર દિવસે નવનિર્મિત રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું. દાતાઓના સહયોગથી ₹32 લાખના ખર્ચે આ હોલનું નિર્માણ થયું છે. આ પ્રસંગે નવકુંડી યજ્ઞ અને અખંડ રામધૂનનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ અને નગરજનો જોડાયા. મોરબીના લીલાપર રોડ પર છેલ્લા 22 વર્ષથી વિદ્યુત સ્મશાન કાર્યરત છે. અહીં વર્ષો પહેલા શરૂ થયેલી રામધૂન દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી યોજાય છે. સત્સંગીઓની વધતી સંખ્યાને કારણે વિશાળ જગ્યાની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને પગલે 2150 ચોરસ ફૂટના 'શ્રી રામધૂન સત્સંગ હોલ'નું નિર્માણ કરાયું. આ સત્સંગ હોલનું લોકાર્પણ મહામંડલેશ્વર યોગીજી મહારાજ, ભાણદેવજી મહારાજ, મહંત શરદમુની ઉદાસીન, ભાવેશ્વરી માતાજી અને હંસાગીરી માતાજી તેમજ દાતાઓના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આર્યસમાજ દક્ષિણ અને વૈદિક યજ્ઞ સમિતિ દ્વારા નવકુંડી યજ્ઞ તથા મોક્ષધામ ધૂન મંડળ દ્વારા 24 કલાકની અખંડ રામધૂનનું પણ આયોજન કરાયું હતું. આ સત્સંગ હોલના નિર્માણ માટે ઉષાબેન ભાલોડીયા (ડો. જી.પી. ભાલોડીયા) દ્વારા ₹10,51,000નું નોંધપાત્ર દાન આપવામાં આવ્યું છે. ટ્રસ્ટીઓ ચંદ્રકાંતભાઈ દફતરી, દિલુભા જાડેજા અને ભરતભાઈ કારીયાએ જણાવ્યું કે, નવા મકાનના વાસ્તુની જેમ જ આ સત્સંગ હોલ ખાતે નવકુંડી યજ્ઞ કરવામાં આવ્યો. ત્યારબાદ યોજાયેલી ધર્મસભામાં દાતાઓ સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતું. અગાઉ, છેલ્લા છ મહિનાથી સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા (જયદીપ કંપની) પરિવાર દ્વારા બનાવવામાં આવેલી ઓફિસના ઉપરના માળે બપોરે 2 થી 6 વાગ્યા સુધી રામધૂન ચાલતી હતી, પરંતુ તે જગ્યા નાની પડતી હતી. નવા સત્સંગ હોલના નિર્માણથી, હવે મોરબીમાં કોઈપણ વ્યક્તિના સ્વજનનું અવસાન થાય અને તેઓ સ્વજન પાછળ રામધૂન રાખવા ઈચ્છતા હોય તો બપોરના 2 થી 6 દરમિયાન સ્વર્ગસ્થ સ્વજનનો ફોટો લઈને આવી શકે છે. તેમના સગા-સ્નેહીઓ પણ આ રામધૂનમાં ભાગ લઈ શકશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લીલાપર રોડ વિદ્યુત સ્મશાન ગૃહના પ્રમુખ પ્રવીણભાઈ ભાલોડીયા, ઉપપ્રમુખ ભરતભાઈ કારીયા, મંત્રી ચંદ્રકાંતભાઈ દફતરી, ખજાનચી સમીરભાઈ પંડિત, ટ્રસ્ટી દિલુભા જાડેજા સહિતના ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી અને હજારો ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલ હાલ તંત્રની 'લાલિયાવાડી' અને વહીવટી નિષ્ફળતાનો પર્યાય બની ગઈ છે. માર્ચ મહિનામાં જ સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને તાપમાન 40 ડિગ્રીને વટાવી રહ્યું છે, ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા લાચાર દર્દીઓ અને તેમના પરિજનો પીવાના શુદ્ધ અને ઠંડા પાણીના ટીપાં માટે વલખાં મારી રહ્યા છે. ઉનાળાના પ્રારંભે જ ઠંડા પાણીના વોટર કુલર શોભાના ગાંઠિયા સમાનશહેરમાં કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જાય તેવી સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે મુશ્કેલી બેવડાઈ છે. હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા ઉનાળા પૂર્વે જે આગોતરી તૈયારીઓ કરવાની હોય છે, તેમાં સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળી રહી છે. નવી સિવિલ હોસ્પિટલના મોટાભાગના ઠંડા પાણીના વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કુલરોની નિયમિત સફાઈ ન થવાને કારણે વંદા અને અન્ય જીવાતોના ઘરસૌથી ચોંકાવનારી અને સૂગ ચડે તેવી વિગત એ સામે આવી છે કે, હોસ્પિટલના કિડની બિલ્ડિંગ સહિતના વિસ્તારોમાં મુકવામાં આવેલા વોટર કુલરોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. આ કુલરોની નિયમિત સફાઈ ન થવાને કારણે તેમાં વંદા અને અન્ય જીવાતો ઘર કરી ગઈ છે. ફિલ્ટર પાણી આપવાના દાવાઓ વચ્ચે નળમાંથી પાણીની સાથે મરેલા કોકરોઝ બહાર આવી રહ્યા છે. જે હોસ્પિટલ રોગ મટાડવા માટે છે, ત્યાં જ આવું દૂષિત પાણી પીવાથી ટાઈફોઈડ, કોલેરા અને ગેસ્ટ્રો જેવા રોગો ફેલાવવાનું જોખમ ઉભું થયું છે. ગંદા પાણીને કારણે ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સગા-સંબંધીઓ હવે હોસ્પિટલનું પાણી પીવાનું ટાળી રહ્યા છે અને બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવા મજબૂર બન્યા છે. ઠંડાને બદલે ગરમ પાણી અને વીજ કરંટનો ફાળકોહોસ્પિટલના અનેક વોટર કુલર ટેકનિકલ ખામીનો શિકાર બન્યા છે. અનેક મશીનોના બટન બગડી ગયા હોવાથી કુલિંગ સિસ્ટમ કામ કરતી નથી, પરિણામે કાળઝાળ ગરમીમાં લોકોને 'ગરમ પાણી' પીવું પડી રહ્યું છે. કેટલીક જગ્યાએ કુલરમાં વાયરિંગ ખુલ્લું હોવાથી અથવા અર્થિંગની સમસ્યાને કારણે પાણી પીવા જતા લોકોને વીજ કરંટ લાગવાની શક્યતા રહેલી છે. આ એક અત્યંત ગંભીર બાબત છે, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. મહિલા દર્દીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈનવી સિવિલ હોસ્પિટલના અત્યાધુનિક ગણાતા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં, જ્યાં નાના બાળકો અને મહિલાઓના વોર્ડ આવેલા છે, ત્યાં સ્થિતિ વધુ ગંભીર છે. માસૂમ બાળકો જેઓ બીમારી સામે લડી રહ્યા છે, તેમના વાલીઓ પાણી માટે એક માળથી બીજા માળ સુધી ભટકી રહ્યા છે. મહિલા દર્દીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ જતા દયનીય સ્થિતિ છે. સિવિલ તંત્રનું માત્ર રીપેરીંગ કામગીરી ચાલી રહ્યું હોવાનું રટણવહીવટી તંત્ર દ્વારા દર વર્ષે મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, છતાં વાસ્તવિકતા એ છે કે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ શૂન્ય છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સામે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, શું દર્દીઓના જીવની કોઈ કિંમત નથી? ઉનાળો શરૂ થયો હોવા છતાં વોટર કુલરનું રિપેરિંગ કેમ ન કરાયું? શુદ્ધ પાણીની જગ્યાએ જીવાતવાળું પાણી આપવા બદલ જવાબદાર કોણ? સ્થાનિક સામાજિક કાર્યકરો અને દર્દીઓએ માગ કરી છે કે, તાત્કાલિક ધોરણે તમામ વોટર કુલર સાફ કરવામાં આવે, બગડેલા મશીનો રિપેર કરવામાં આવે અને જો તંત્ર ટૂંકા સમયમાં વ્યવસ્થા ન કરી શકે તો વૈકલ્પિક પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવે. સિવિલ તંત્ર માત્ર રીપેરીંગ કામગીરી ચાલી રહ્યું છે તેવું રટણ કરી રહ્યું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બઢતી આપવામાં આવેલા પીઆઇને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. PSIથી PIના પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા બાદ જે તે જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. પ્રમોશન બાદ જે તે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિગ આપવામાં આવ્યા હતા. 254 જેટલા PIને એક સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. પ્રમોશન પામેલા PIને પોસ્ટિંગસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના 650થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવનાર હોવાની ચર્ચા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. જેની વચ્ચે આજે રાજ્ય પોલીસવડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા 254 જેટલા પીઆઈની બદલી કરવામાં આવી છે જોકે આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઇમાંથી પીઆઇ તરીકે પ્રમોશન મેળવી ચૂક્યા છે અને તેમને જે તે જગ્યા પર જ પ્રમોશન આપીને રાખવામાં આવ્યા હતા ત્યારબાદ હવે પોસ્ટિંગ આપી દેવામાં આવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપ અને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ, ઘૂલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા અને આકાશ પરમાર નામના શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરા માનસિક તકલીફના કારણે ઘરેથી નીકળી જતી હતી. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને, આરોપીઓએ સગીરાને સહાનુભૂતિ અને લાલચ આપીને તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા છ મહિનાથી 23 માર્ચ, 2026 સુધી આ 6 શખ્સો સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ગઢડા પોલીસે આરોપીઓ સામે BNS કલમ 64(2)(i), 75(2), 70(2) તેમજ પોકસો એક્ટની કલમ 3(a), 4, 5(g), 7, 8, 9, 11(6), 17 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરા સાથે બનેલી આ ઘટનાને પગલે ગઢડા પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો ઉમરપાડામાં ચાર નરાધમોએ સગીરા પર કર્યો ગેંગરેપ 11 દિવસ પહેલા સુરત જિલ્લામાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી.ઉમરપાડા તાલુકામાં લગ્ન પ્રસંગમાં આવેલી એક સગીરાને ચાર નરાધમોએ પોતાની હવસનો શિકાર બનાવી સામૂહિક દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
અમદાવાદ શહેરમાં રહેતા એક વેપારીની ફેસબુક પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી. જે બાદ યુવતીએ બિલ્ડર હોવાની ઓળખ આપી હતી સાથે તે ફોરેક્સ ટ્રેડિંગ કરતી હોવાનું કહીને વેપારીને વધુ નફો કમાવવાની લાલચ આપી હતી. વેપારી પણ યુવતીની જાળમાં ફસાયા હતા અને કુલ 93 લાખ ભર્યા હતા. જેની સામે 2.55 લાખ વિડ્રો થયા હતા પરંતુ કુલ રૂ. 90.45 લાખ વિડ્રો ન થતાં છેતરપિંડીની જાણ થઇ હતી. જે અંગે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પૈસા ડિપોઝીટ કરવા બેંક એકાન્ટની વિગતો માંગીવેજલપુરમાં રહેતા અને સિક્યોરીટી એજન્સી ધરાવતા વેપારીનો સંપર્ક ફેસબુક પર કોમલ મહેતા નામની અજાણી યુવતી સાથે થયો હતો. જે બાદ યુવતી સાથે વાતચીત થતા યુવતીએ પોતે બિલ્ડર હોવાનું અને ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાની વાતચીત કરી હતી. યુવતીએ વેપારીને વધુ નફો કમાવવાની લાલચ આપીને ફોરેક્સ ટ્રેડિંગ કરાવવાનું કહેતા વેપારીએ એકાઉન્ટ ખોલાવવા માટે ડોક્યુમેન્ટ્સ આપી દીધા હતા.જે બાદ યુવતીએ લીંક મોકલી હતી, તેમાં ઇમેઇલ આઇડી અને પાસવર્ડ નાખતા એક વેબસાઇટ ખુલી હતી. યુવતીએ વેપારીને ટેલિગ્રામ એકાઉન્ટમાં પૈસા ડિપોઝીટ કરવા બેંક એકાન્ટની વિગતો માંગી હતી. 93 લાખ રોકાણ માટે ભર્યા બાદ 2.55 લાખ જ વિડ્રો કરવા દીધાવેપારીએ બેંક એકાઉન્ટની વિગતો આપી દીધા બાદ ડિપોઝીટ કરેલી રકમ તે વેબસાઇટમાં દેખાવા લાગી હતી.આમ, વેપારીએ શરૂઆતમાં 50 હજારનું રોકાણ કરતા તેની સામે 5 હજાર નફો દેખાતો હતો. જેથી વેપારીએ 55 હજાર વિડ્રો કર્યા બાદ વિશ્વાસ આવી જતા તેમણે કુલ 93 લાખ રોકાણ માટે ભર્યા હતા. જેની સામે 2.55 લાખ જ વિડ્રો કરવા દીધા હતા. જ્યારે 90.45 લાખ વિડ્રો ન કરવા દેતા વેપારીને ઠગાઇની જાણ થતાં આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. બીજો કિસ્સોગુગલ પેમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની લિમીટ પૂર્ણ થઈ ગયાની નોટિસ આવીઆંનદનગર વિસ્તારમાં આવેલા શરણમ-8માં રહેતા 83 વર્ષિય વૃદ્ધે આનંદનગર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ કરી છે. વૃદ્ધ સંયુક્ત પરિવારમાં રહે છે અને નિવૃત જીવન ગુજારે છે. જાન્યુઆરી મહિનામાં વૃદ્ધ પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમનો પૌત્ર આવ્યો હતો. જ્યાં તેમણે પોત્રને જણાવ્યું હતું કે, મારે 34 હજાર રૂપિયા રોકડા આપ અને તું મારા એકાઉન્ટમાંથી તારા એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દે. યુવકે વૃદ્ધનો મોબાઈલ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે લીધો ત્યારે તેને ગુગલ પે એપ્લીકેશન ઓપન કરી હતી. ગુગલ-પે એપ્લીકેશનમાં નોટીસ આવી હતી કે તમારી રૂપિયા ટ્રાન્સફર કરવાની લીમીટ પૂર્ણ થઈ ગઈ છે. યુવકે તરતજ તેના દાદાને આ અંગેની જાણ કરી હતી. ID, પાસવર્ડ વગર વૃદ્ધના એકાઉન્ટમાંથી 90,000નું ટ્રાન્જેક્શનયુવકે દાદાને કહ્યું કે, આજે તમે કોઈ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. વૃદ્ધે યુવકને જવાબ આપ્યો હતો કે મેં કોઈ રૂપિયા ટ્રાન્સફર કર્યા નથી. વૃદ્ધ યુવકને લઈને બેકમાં ગયા જ્યા કર્મચારીએ જણાવ્યું હતું કે, તમારા એકાઉન્ટમાંથી 99 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન થઈ ગયું છે. વૃદ્ધે બેંકની આઈડી અને પાસવર્ડ આપ્યા વગર સાયબર ગઠીયાએ તેમના બેંકના ખાતામાંથી 99 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. વૃદ્ધે તરતજ સાયબર હેલ્પલાઈન પર ફોન કરીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. આનંદનગર પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે ત્રણ મહિના બાદ ગુનો દાખલ કર્યો છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભાવનગર-ઘોઘા દ્વારા આગામી તહેવારો અને માર્ચ એન્ડિંગના કારણે માર્કેટ યાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ છ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તહેવારો રામનવમી, મહાવીર જયંતિ તથા માર્ચ એન્ડિંગના કારણે જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે જેમાં તા.26/3 થી 31/3 સુધી 6 દિવસ સુધી બંધ રહેશે, જેમાં 6 દિવસ દરમ્યાન તહેવારોઓમાં રામનવમી, મહાવીર જયંતી અને માર્ચ એન્ડિંગ હિસાબી કામકાજ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની જાહેર હરાજી બંધ રહેશે તથા શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે, તેમજ ખાસ નોંધ કે લીંબુની હરાજી માત્ર 26/3 ને ગુરુવાર ના રોજ રામનવમી નિમિત્તે બંધ રહેશે, માર્કેટ યાર્ડના સેક્રેટરી દ્વારા તમામ ખેડૂત ભાઈઓ, વેપારીઓ અને વાહન માલિકોને આ સમયગાળા દરમિયાન પોતાની જણસી વેચાણ માટે ન લાવવા માર્કેટિંગ યાર્ડ ઇન્ચાર્જ સેક્રેટરી એ અપીલ કરવામાં આવી છે. માર્કેટ યાર્ડમાં તમામ જણસીઓની જાહેર હરાજીનું કામકાજ 1/4/2026 ને બુધવાર થી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે,
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની આપવા મામલે રાજ્યમાં સૌપ્રથમ રાજકોટમાં પેટ્રોલ - ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ હવે તેમનો રામદેવપીર ચોકડી પાસે આવેલા એચ.પી.ના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ 48 કલાક માટે બંધ કરવાનો આદેશ અપાયો છે. જેને પગલે હાલ આ પેટ્રોલ પંપ બંધ છે. શહેરના રામદેવપીર ચોકડી પાસે આવેલા HP પેટ્રોલ પંપના મેનેજર અર્જુનભાઈએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોપાલભાઈ ચુડાસમા સામે ખોટી FIR દાખલ થયા બાદ HPCL દ્વારા તેમનો ખુલાસો પૂછવામાં આવેલો છે અને તેમના નામે નોંધાયેલા આ પેટ્રોલ પંપ ઉપરથી 48 કલાક માટે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ જાતનું લાયસન્સ સસ્પેન્ડ થયું નથી. અમને પૂછેલો ખુલાસો HPCL માં કરી દેવામાં આવ્યો છે. જેથી એક બે દિવસમાં નિર્ણય આવી જતા ફરી પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વહેતી થયેલી અફવાઓના પગલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના ડિવિઝનલ રીટેલ સેલ્સ હેડ અમીતભાઈ શીવપ્રસાદ જયસ્વાલ દ્વારા રાજકોટ જીલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર એસોશીએશનના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ઘટનાની શરૂઆત 23/03/2026 ના રોજ થઈ હતી. સવારના આશરે 10:30 કલાકે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ IOCL ભવન ખાતે ગોપાલ ચુડાસમા આશરે 40 થી 50 પેટ્રોલ-ડીઝલ ડીલરો અને મીડિયા કર્મચારીઓ સાથે કોઈપણ પૂર્વ મંજૂરી વગર પહોંચ્યા હતા. ત્યાં તેઓએ IOCLના અધિકારી અમીત જયસ્વાલ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે પૂછપરછ કરી હતી. દરમિયાન અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કંપની પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે મળી રહેશે. ડીલરોએ ત્યારે સહયોગ આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું. જોકે, ઓફિસની બહાર નીકળ્યા બાદ ગોપાલ ચુડાસમાએ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તદ્દન વિપરીત નિવેદનો આપ્યા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે અને પંપો 'ડ્રાય' થઈ ગયા છે. જે બાદ પેટ્રોલ પંપ લોકોની પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે લાંબી લાઈન લાગી હતી. જેથી ફરિયાદ નોંધાઈ હતી.
પાળીયાદમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન:27 માર્ચથી 2 એપ્રિલ સુધી કથાનું રસપાન કરાવાશે
બોટાદ જિલ્લાના પાળીયાદ મુકામે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સંવત 2082 ના ચૈત્ર સુદ-9 (રામનવમી), શુક્રવાર, 27 માર્ચ 2026 થી ચૈત્ર સુદ-15 (હનુમાનજયંતિ), ગુરુવાર, 02 એપ્રિલ, 2026 સુધી ચાલશે. આ ધાર્મિક પ્રસંગે ભાવિક ભક્તોને કથા શ્રવણ કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કથામાં વ્યાસપીઠ પરથી અમરેલીવાળા શાસ્ત્રી ચંદ્રેશભાઈ કે. જોષી પોતાની અમૃતવાણીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે અનેક સંતો-મહંતો, આઈ માતાઓ, રાજકીય આગેવાનો, પત્રકારો, સામાજિક આગેવાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં 1008 મહામંડલેશ્વર મહંત નિર્મળાબા (વિસામણ બાપુની જગ્યા- પાળીયાદ), ઇન્દ્રભારતી બાપુ, પીરયોગી શેરનાથબાપુ, 1008 મહામંડલેશ્વર મહેન્દ્રનંદગિરીજી મહારાજ, મહંત કિશોરબાપુ, મહંત ભરતબાપુ, મહંત રામકુબાપુ, મહંત વિજયબાપુ, આલકુબાપુ, મહંત દેવુબાપુ, ભયલુબાપુ, મહંત રાજેન્દ્રગીરીબાપુ ગૌસ્વામી, મહંત ભરતગીરીબાપુ ગૌસ્વામી, રામબાલકદાસબાપુ, મહંત બંસીદાસબાપુ, 1008 ભાવેશબાપુ, પરમેશ્વરદાસજી, કંચનઆઈમાં, કંકુકેશરઆઈમાં, મનુઆઈમાં, દેવલઆઈમાં, બેલીઆઈમાં, રૂપલઆઈમાં અને વાલબાઈમાંનો સમાવેશ થાય છે. કથા સ્થળ દ. પ્રતાપભાઈ (પાર્ટી) અનકુભાઈ ખાચરના દેવદત્ત અશ્વ વિકાસ ફાર્મ, પાળીયાદ-રતનપર રોડ, પાળીયાદ ખાતે રાખવામાં આવ્યું છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈ-મેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી રહી છે ત્યારે હવે એરપોર્ટના ગુજસેલના ડાયરેક્ટરને ઈ-મેલ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે.જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોહફા મોદી એન્ડ શાહ. મેરા ભાઈ સૌરભ વિશ્વાસ કો રેહા કરો... જેવું લખવામાં આવ્યું છે.સાયબર ક્રાઈમે આ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. અધિકારીઓ અને સિક્યોરિટી ઓફિસરને જાણ કરાઈ25 માર્ચના રોજ ગુજસેલના ડાયરેક્ટરના ઇમેઇલ પર bhavesh4518@gmail.com પરથી સવારે 8 વાગ્યે મેઈલ આવ્યો હતો. આ અંગે ઉપરી અધિકારીઓ અને સિક્યોરિટી ઓફિસરને જાણ કરવામાં આવી હતી. તપાસના અંતે કંઈ ન મળ્યુંબોમ્બની ધમકી મળ્યા બાદ SOP મુજબ બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા ગુજસેલમાં તપાસ કરવામાં આવી હતી. જોકે કઈ મળી આવ્યું નહોતું.આ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવતા પોલીસે ધમકી આપનાર ઇમેલ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
રૂબિક ક્યુબથી શ્રી રામની અનોખી પ્રતિકૃતિ બની:કલાકાર રૂચિતે 286 ક્યુબનો ઉપયોગ કરી 3 દિવસમાં બનાવી
વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલા હનુમાનજી મંદિરમાં રૂબિક ક્યુબનો ઉપયોગ કરીને ભગવાન શ્રી રામની એક અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. કલાકાર રૂચિત દ્વારા 286 રૂબિક ક્યુબની મદદથી બનેલી આ કલાકૃતિ હાલમાં નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અદભૂત કલાકૃતિ કલાકાર રૂચિતે ત્રણ દિવસની અવિરત મહેનત અને ધીરજથી બનાવી છે. રૂચિતે સામાન્ય રીતે કોયડા ઉકેલવા માટે ઉપયોગમાં લેવાતા રૂબિક ક્યુબને ભક્તિના માધ્યમમાં પરિવર્તિત કર્યા છે. આ પ્રતિકૃતિ બનાવવા માટે દરેક ક્યુબના રંગોને ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા. કુલ 286 ક્યુબ્સને એકસાથે જોડીને ભગવાન શ્રી રામની મનમોહક છબી તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની મોઝેક આર્ટ બનાવવી એ અત્યંત જટિલ પ્રક્રિયા છે. આ કલામાં દરેક ક્યુબના પિક્સેલ્સ (રંગો) એવી રીતે ગોઠવવા પડે છે કે જેથી અંતિમ ચિત્રમાં ચહેરાના હાવભાવ સ્પષ્ટપણે દેખાય અને કલાકૃતિ જીવંત લાગે. આ માટે અત્યંત ચોકસાઈ અને કૌશલ્યની જરૂર પડે છે. હનુમાનજીના મંદિરમાં તેમના આરાધ્ય દેવ શ્રી રામની આ પ્રતિકૃતિ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ કલાકૃતિ માત્ર કલા પ્રદર્શન નથી, પરંતુ ઈશ્વર પ્રત્યેની સમર્પણ ભાવનાનું પ્રતિક છે. કલાકાર રૂચિતની આ મહેનત શ્રદ્ધા અને આધુનિક કૌશલ્યના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પાવન અવસરે આખો દેશ રામમય બન્યો છે. જેથી સુરતમાં પણ ઠેર-ઠેર શોભાયાત્રા અને ભંડારાના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે સુરતના યુવા બાઈકર્સે પોતાની આસ્થા પ્રગટ કરવા માટે એક સાવ અલગ અને આધુનિક રસ્તો અપનાવ્યો હતો. સુરત બાઈકિંગ કમ્યૂનિટી (SBC)ના 70 થી વધુ સભ્યોએ ઓલપાડ સ્થિત ડભારી બીચ પર એકત્ર થઈને પોતાની બાઈક્સ દ્વારા રેતી પર 'રામ' નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી. આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવાઈવહેલી સવારના રમણીય વાતાવરણમાં ડભારી બીચના કિનારે આ અદભૂત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. રેતી પર વિશાળ અક્ષરોમાં 'રામ' લખવા માટે બાઈક્સનું અંતર અને તેની ગોઠવણી ખૂબ જ પડકારજનક હતી. જોકે, બાઈકર્સના સચોટ આયોજન અને પરસ્પર સમન્વયના કારણે આ આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવામાં આવી હતી. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે આકાશમાંથી કોઈ કલાકારે રેતી પર ચિત્ર દોર્યું હોય તેવું લાગતું હતું. આ આયોજન અંગે વાત કરતા સુરત બાઈકિંગ કમ્યૂનિટીના પિનાંક મશરૂવાલાએ જણાવ્યું હતું કે, આજે રામનવમીનો મહાપર્વ છે અને વિશ્વભરના 120 કરોડ સનાતનીઓ આ દિવસને ઉત્સાહભેર ઉજવે છે. અમે કંઈક એવું કરવા માંગતા હતા. જે આજના યુવાનોને આકર્ષે અને સાથે-સાથે આપણી પરંપરા અને આસ્થાને પણ ઉજાગર કરે. બીચ પર આવેલા સહેલાણીઓ જોતા જ રહી ગયારામનવમીની રજા હોવાથી ડભારી બીચ પર સવારથી જ સહેલાણીઓની અવરજવર હતી. જ્યારે લોકોએ જોયું કે 70 જેટલા યુવાનો શિસ્તબદ્ધ રીતે બાઈક્સ ગોઠવીને 'રામ' નામ રચી રહ્યા છે, ત્યારે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ભક્તિભાવ અને ઉત્સાહના માહોલ વચ્ચે અનેક લોકોએ આ અદભૂત નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ બાઈકર્સની આ રામભક્તિની તસવીરો અને વીડિયો અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. આધુનિકતા અને પરંપરાનો સંગમસામાન્ય રીતે બાઈકર્સ ગ્રુપ માત્ર એડવેન્ચર અને રાઈડિંગ માટે જાણીતા હોય છે, પરંતુ સુરતના આ યુવાનોએ સાબિત કર્યું છે કે આધુનિક જીવનશૈલીની સાથે તેઓ પોતાની સંસ્કૃતિ અને જડમૂળથી જોડાયેલા છે. રામનવમીના દિવસે ક્યાંક મહાઆરતી તો ક્યાંક મહાપ્રસાદનું આયોજન થયું હતું, ત્યારે આ 'બાઈકિંગ રામભક્તિ' એ સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સેટેલાઈટ, જોધપુર, શ્યામલ, વેજલપુર, સરખેજ, જુહાપુરા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદનગર, આનંદનગર વિસ્તારોમાં રહેતા નાગરિકોએ સુકો અને ભીનો કચરો અલગ રાખવાનો રહેશે. ડોર ટુ ડોરની ગાડી કચરો લેવા આવે ત્યારે ફરજિયાત રીતે સુકો અને ભીનો કચરો અલગ નાગરિકોએ આપવાનો રહેશે જો નાગરિકો આ નિયમોનું પાલન નહીં કરે તો આજથી 10 દિવસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવામાં આવશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં સુકો અને ભીનો કચરો અલગ આપે તેના માટે આ કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારના નાગરિકો અને વેપારીઓ તમામ લોકોએ આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે. રહેણાંક-વેપારી એકમોએ ભીના-સૂકા કચરાનું અલગ વિભાજન કરવું ફરજિયાતમ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા તમામ રહેણાંક વિસ્તાર અને વેપારી વિસ્તારોને જાણ કરવામાં આવે છે કે, ભારત સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 તથા 2026 અનુસાર દરેક નાગરિક તથા સંસ્થાએ પોતાના કચરાનું વિભાજન કરવું ફરજિયાત છે. જે મુજબ દરેક રહેણાંક તથા વેપારી એકમોએ પોતાના કચરાનું ભીના કચરામાં અને સૂકા કચરામાં અલગ અલગ વિભાજન કરવું ફરજિયાત છે. નિયમનું પાલન નહીં થાય તો ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવા બંધ કરાશેઅલગ કરેલા સૂકા અને ભીના કચરાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર વાહનોમાં અલગ અલગ પરિસ્થિતિમાં જ આપવાની રહેશે. આ નિયમ અનુસાર કચરો વિભાજન કરવાની જવાબદારી કચરો આપનાર વ્યક્તિની છે. જેથી હવે પછી 10 દિવસમાં નિયમોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. નિયમનું પાલન ન કરનાર રહેણાંક તથા વ્યવસાય વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવા બંધ કરવામાં આવશે. જ્યાં જરૂર જણાશે ત્યાં દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના સંરક્ષણ માટે તમામ નાગરિકો અને સંસ્થાઓએ સહકાર આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. કચરા નિકાલમાં તકલીફ પડતી હોવાથી નિર્ણયનાગરિકો સૂકો-ભીનો કચરો અલગ આપે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાદળી અને લીલા કલરના એમ બે પ્રકારના ડસ્ટબીન નાખવામાં આવ્યા છે. જેમાં કોમર્શિયલ વિસ્તારમાં મોટા ડસ્ટબીન અને રહેણાંક વિસ્તારોમાં નાના ડબ્બા આપવામાં આવેલા છે. વાદળી કલરમાં સૂકો કચરો અને લીલા કલરમાં ભીનો કચરો નાખવાનો રહેશે, જ્યારે ડોર ટુ ડોરની ગાડી આવે ત્યારે બંને કચરો અલગ આપવાનો હોય છે. કોર્પોરેશન દ્વારા સૂકો-ભીનો કચરો અલગ આપે તેના માટે વિવિધ વિસ્તારોમાં નાગરિકોને આ મુજબ કચરો આપવા સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો કચરો ભેગો આપે છે જેના કારણે કોર્પોરેશનને RTS અને ડમ્પીંગ સાઈટ ઉપર જ્યારે કચરો આવે ત્યારે અલગ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે અને તેના કારણે કચરાનો નિકાલ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે જેને લઈને કોર્પોરેશન દ્વારા હવે કડક નિયમ લાગુ કરાયા છે.
પાટડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સુરજમલજી પ્રાથમિક શાળાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં KG-1 થી ધોરણ 8 સુધીના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 24 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિના ગીતો, ધાર્મિક ગીતો અને નાટકોનો સમાવેશ થતો હતો. પાટડી નગરના બાળકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પાટડી કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા, ટ્રસ્ટીઓ મુકેશભાઈ દેસાઈ, રશ્મીકાંતભાઈ રાવલ, રશ્મિકાંતભાઈ પરીખ, મંત્રી કિશોરભાઈ ઠક્કર અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે, પાટડી કેળવણી મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા અને દિનેશભાઈ ઘેલાણી દ્વારા દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય દીપકકુમાર શર્મા, તમામ શિક્ષકમિત્રો અને અન્ય સ્ટાફે સઘન પ્રયાસો કર્યા હતા. વાર્ષિકોત્સવમાં વાલીઓ અને નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા, જેને નાના અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં આવેલા અંબિકા માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રીની આઠમને લઈને વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ગુરુવારે વહેલી સવારે 6.30 કલાકે માતાજીની મંગળા આરતી યોજાઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તોએ માતાજીના કમળ પર સવારીના જગદંબા સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે માતાજીના મંદિર પરિસરમાં હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ હવન સાંજે 4 થી 4.30 વાગ્યા દરમિયાન શ્રીફળ હોમ સાથે પૂર્ણ થશે.
જામનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આઈજીના નિરીક્ષણના બે કલાકમાં જ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પટ્ટણી વાડ વિસ્તારમાં આવેલા ખાટકીવાડ પાસેના 'વ્હાઇટ હાઉસ'માં બનેલા 72 ગેરકાયદેસર રૂમો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આઈજી નિર્લિપ્ત રાયે વોર્ડ નંબર 12ના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. નિરીક્ષણ દરમિયાન ગેરકાયદેસર બાંધકામોની વિગતો સામે આવતા, તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આઈજીના આદેશ બાદ વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સક્રિય બન્યો. ગણતરીના બે કલાકમાં જ ગેરકાયદેસર રૂમોને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. આ કાર્યવાહી ઝડપી અમલીકરણનું ઉદાહરણ પૂરું પાડે છે. આઈજી નિર્લિપ્ત રાયની આ ત્વરિત કામગીરીથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં સ્પષ્ટ સંદેશ પહોંચ્યો છે. જામનગર પોલીસે આ કાર્યવાહી દ્વારા શહેરમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કે અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે તે દર્શાવ્યું છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં પોલીસ તંત્રના કડક વલણ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ ઘટનાસ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ભારતની મુલાકાતે આવેલી એક જર્મન મહિલા પ્રવાસી માટે સુરતનો પ્રવાસ યાદગાર બની રહ્યો છે, પરંતુ કોઈ મુશ્કેલીના કારણે નહીં પણ સુરત પોલીસની ત્વરિત અને સરાહનીય કામગીરીને કારણે. સુરત રેલવે સ્ટેશનથી હોટલ જતી વખતે રિક્ષામાં ભુલાઈ ગયેલો કિંમતી મોબાઈલ ફોન મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી, તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને પરત સોંપ્યો છે. પર્પલ કલરનો ગુગલ પિક્સલ રિક્ષામાં જ ભૂલાઈ ગયોજર્મનીથી ભારત પ્રવાસ અર્થે આવેલી મહિલા પ્રવાસી 25 માર્ચના સવારે આશરે 11.30 વાગ્યાની આસપાસ સુરત રેલવે સ્ટેશન ઉતરી હતી. ત્યાંથી તેઓ હોટેલ જવા માટે સ્ટેશનની બહારથી એક ઓટોરિક્ષા ભાડે કરીને રવાના થયા હતા. હોટેલ પહોંચ્યા બાદ તેમને અહેસાસ થયો કે તેઓ પોતાનો પર્પલ કલરનો ગુગલ પિક્સલ 9A મોડલનો મોબાઈલ ફોન રિક્ષામાં જ ભૂલી ગયા છે. સીસીટીવી આધારે રિક્ષાચાલક સુધી પોલીસ પહોંચીગભરાયેલી મહિલાએ તાત્કાલિક મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. આ મામલાની ગંભીરતા જોઈને સર્વેલન્સ ટીમ સક્રિય કરવામાં આવી હતી. પોલીસ ટીમે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારના અલગ-અલગ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ચોકસાઈભરી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ટૂંક સમયમાં જ રિક્ષાચાલક અને મોબાઈલ ફોન શોધી કાઢ્યો હતો. ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શનસુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ પ્રજાની સેવા કરવાના હેતુથી, પોલીસે આ ફોન મેળવીને મહિલા પ્રવાસીને પરત કર્યો હતો. પોતાનો ફોન સુરક્ષિત પરત મળતા જર્મન મહિલાએ સુરત પોલીસનો આભાર માન્યો હતો અને પોલીસની કાર્યક્ષમતાના વખાણ કર્યા હતા. આમ, મહિધરપુરા પોલીસે વિદેશી મહેમાનની મદદ કરીને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંત અતિથિ દેવો ભવ: ને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
ભારતીય સ્થાપત્યકલાના ઇતિહાસમાં ગુજરાતની શિલ્પકલાનું સ્થાન હંમેશાં અગ્રણી રહ્યું છે. સોમનાથનું પ્રભાસ તીર્થ હોય કે મોઢેરાનું સૂર્યમંદિર, ગુજરાતના પથ્થરો પર કંડારાયેલી કલા સંસ્કૃતિ હજારો વર્ષોથી તેની જીવંત સાક્ષી પૂરે છે. આ ભવ્ય વિરાસતને 21મી સદીના આધુનિક પડકારો સામે ટકાવી રાખવા અને સ્થાનિક કલાકારોને વૈશ્વિક ફલક પર ઉજાગર કરવાના હેતુથી, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા 'સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ - સાપ્તી’ કાર્યરત છે. આ સંસ્થા પરંપરાગત કલાને આંતરરાષ્ટ્રીય બજારની આધુનિક માગ સાથે જોડી રહી છે. ઝાલાવાડનો ધ્રાંગધ્રા પંથક તેના વિશિષ્ટ 'રેતિયા પથ્થર' માટે જાણીતો છે. અહીંની 'સાપ્તી' સંસ્થા આ પીળા પથ્થરોને નવી ઓળખ આપી રહી છે. સંસ્થા પરંપરાગત રીતે પથ્થરનું કામ કરતા પરિવારોના યુવાનોને આધુનિક ટેકનોલોજી, ડિઝાઈનિંગ અને ફિનિશિંગની તાલીમ આપે છે. પૂર્વજો પાસેથી મળેલી કલાને વૈજ્ઞાનિક પદ્ધતિઓ, અત્યાધુનિક CNC મશીનરી અને 3D ડિઝાઈનિંગ સોફ્ટવેરનું પીઠબળ મળતાં, પથ્થરમાંથી અદ્ભુત કલાકૃતિઓનું નિર્માણ થાય છે. આ તાલીમ દ્વારા કારીગરો માત્ર મૂર્તિઓ જ નહીં, પરંતુ સ્થાપત્ય અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં પણ નિપુણ બની રહ્યા છે. 'સાપ્તી' સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પથ્થર કલા સાથે જોડાયેલા શ્રમિકોને 'કુશળ કારીગર' અને 'કલાકાર' બનાવવાનો છે. સંસ્થાના પરિસરમાં અત્યાધુનિક વર્કશોપ અને લેબોરેટરીની સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યાં પથ્થરને કાપવાથી લઈને તેના પર ઝીણવટભરી કોતરણી કરવા સુધીનું માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. આ સઘન તાલીમ મેળવીને અનેક યુવાનો આજે સ્વનિર્ભર બન્યા છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને સાકાર કરે છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો છે અને લુપ્ત થતી કલાને નવું જીવન મળ્યું છે. વડાપ્રધાનના 'વિકાસ પણ, વિરાસત પણ'ના વિઝનને અનુસરીને ગુજરાતમાં પથ્થરના પ્રકાર મુજબ અલગ-અલગ તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે, જેમાં અંબાજીનું કેન્દ્ર પણ સામેલ છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ 2009માં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ‘સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ’ની સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી ખાતેની સંસ્થા સફેદ આરસપહાણ પરની બારીક કોતરણી માટે કાર્યરત છે, જ્યારે ધ્રાંગધ્રા કેન્દ્ર રેતી-પથ્થર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે ગુજરાતના પથ્થર શિલ્પીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ દેશ-વિદેશના મંદિરો, જાહેર સ્થાપત્યો અને બગીચાઓની શોભા વધારી રહી છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરીના સહયોગથી કાર્યરત આ સંસ્થાઓ કારીગરોને એક્ઝિબિશન અને માર્કેટિંગ પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આમ, પથ્થરના દરેક કણમાંથી કલાના રત્નો કંડારતી 'સાપ્તી' સંસ્થા ગુજરાતના ભવ્ય ભૂતકાળ અને 'વિકસિત ભારત @2047'ના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે સેતુ સમાન બની રહી છે. સાપ્તી ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર ડાયરેક્ટર હરપાલ જાંગડાએ સંસ્થાની કામગીરી અને ભાવિ આયોજનો વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે કાર્યરત આ યુનિક ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને શિલ્પકલાની ઝીણવટભરી તાલીમ આપવા માટે સરકાર દ્વારા મોટું રોકાણ કરવામાં આવ્યું છે. અહીં વિદ્યાર્થીઓને રહેવા-જમવાની પાયાની સુવિધાઓની સાથે-સાથે ડ્રોઈંગથી લઈને કાર્વિંગ સુધીની તમામ પ્રક્રિયા માટે હેમર-ચીઝલ, પાવર ટુલ્સ અને આધુનિક CNC મશીનો જેવા સાધનો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત, કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા પ્રોગ્રામિંગની તાલીમ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના કૌશલ્યને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે 'આકાર બાય સાપ્તી' જેવી સાઇટ પણ વિકસાવવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટ્સ શેર કરી શકે છે. વધુમાં, આગામી સમયમાં વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન માટે સંસ્થા દ્વારા ટૂંક સમયમાં જ એક ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. જે હેઠળ વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી તમામ સાધન-સામગ્રી સાથે સંસ્થામાં રહીને કામ કરવાની તક મળશે, જેથી તેઓ આર્થિક રીતે સધ્ધર બની શકે. અમરેલી જિલ્લાના ખોપરીયા ગામના વતની પિયુષ જુણેજાએ અહીં બે વર્ષનો 'સ્ટોન ક્રાફ્ટ એન્ડ ડિઝાઇન'નો વિશેષ કોર્સ પૂર્ણ કર્યો છે, જેમાં તેમણે પરંપરાગત કલાને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનું ઉત્તમ જ્ઞાન મેળવ્યું છે. આ તાલીમ દરમિયાન પિયુષે CNC મશીન અને લેથ મશીન જેવા અત્યાધુનિક સાધનોના સંચાલનમાં મહારત હાસલ કરી છે, જેના માટે તેમણે ArtCAM, AutoCAD અને 3ds Max જેવા જટિલ ડિઝાઇનિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરતા પણ શીખ્યું છે. ટેકનિકલ તાલીમની સાથે પિયુષે સંસ્થાની સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી, જે ગ્રામીણ વિસ્તારના યુવાનોને આર્થિક ભાર વગર આધુનિક કૌશલ્ય શીખવામાં મદદરૂપ બને છે. આણંદની પ્રતિષ્ઠિત સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તાજેતરમાં એક શૈક્ષણિક મુલાકાત લીધી હતી, જે અંતર્ગત તેઓએ સ્ટોન કાર્વિંગ અને આધુનિક ડિઝાઈનિંગ ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીની વૃષા રાણાએ જણાવ્યું હતું કે, આ પ્રવાસ તેમના માટે જ્ઞાનવર્ધક રહ્યો છે. તેમને પથ્થર પરની કોતરણી અને વિવિધ જટિલ ડિઝાઇન્સ વિશે ઊંડાણપૂર્વક સમજવાની તક મળી હતી, જેમાં ખાસ કરીને સીએનસી મશીન ટેકનોલોજી પર કરવામાં આવેલું પ્રેક્ટિકલ કામ સમજવાની તક મળી હતી, જે ભવિષ્યમાં તેમના વ્યવસાયિક કૌશલ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પોતાના છ દિવસીય શૈક્ષણિક પ્રવાસના અનુભવો વર્ણવતા વિદ્યાર્થિની પ્રત્યંચાએ જણાવ્યું હતું કે, આ સંસ્થામાં ઉચ્ચ સ્તરીય તાલીમ આપવામાં આવે છે. વર્કશોપમાં સ્કેચિંગથી લઈને અત્યાધુનિક સીએનસી અને લેથ મશીન પર કર્વ કાર્વિંગ કેવી રીતે કરવું તેની ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. અહીં માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ પોતાના ક્રિએટિવ આઈડિયાઝને લોકો સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે પણ માર્ગદર્શન અપાયું છે. આમ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના સતત પ્રોત્સાહન હેઠળ 'સાપ્તી' સંસ્થા આજે પથ્થર કલાના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવી રહી છે. પરંપરાગત કૌશલ્ય અને આધુનિક ટેકનોલોજીના આ અનોખા સંગમથી માત્ર કલાનો જ ઉદ્ધાર નથી થયો, પરંતુ હજારો યુવાનો માટે રોજગારીના નવા દ્વાર પણ ખુલ્યા છે. ધ્રાંગધ્રા અને અંબાજીના આ તાલીમ કેન્દ્રો આગામી સમયમાં વૈશ્વિક સ્તરના કુશળ શિલ્પીઓ તૈયાર કરી, ગુજરાતની ભવ્ય સ્થાપત્ય કલાના વારસાને દેશ-વિદેશમાં વધુ ગુંજતો કરશે.
નવી દિલ્હીમાં 20થી 25 માર્ચ દરમિયાન યોજાયેલી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ (AICS) 2025-26 સંગીત-નૃત્ય-નાટક સ્પર્ધામાં ભરૂચના સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક ડો. સ્વરલ રવિન નાયકે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેશભરના સરકારી કર્મચારીઓ વચ્ચે યોજાતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ડો. નાયકની ગુજરાતમાંથી પસંદગી થઈ હતી. તેમણે ગુજરાત સેક્રેટરિયેટ ટીમનું પ્રતિનિધિત્વ કરતા સુગમ સંગીત ગાયન કેટેગરીમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. તેમણે પ્રખ્યાત શાયર બશીર બદ્રની ગઝલ “लोग टूट जाते हैं एक घर बनाने में, तुम तरस नहीं खाते बस्तियाँ जलाने में”ને પોતાના સ્વરાંકન સાથે રજૂ કરી હતી. આ રજૂઆતને નિષ્ણાત જજિસ અને શ્રોતાઓ તરફથી વિશેષ પ્રશંસા મળી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ડો. સ્વરલ નાયકે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમણે અગાઉ વર્ષ 2023-24માં નાગપુર ખાતે યોજાયેલી આ જ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ડો. નાયકની આ સતત બીજી સિદ્ધિથી ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
પાટણ શહેરમાં 77.38 કરોડના ખર્ચે નિર્મિત આઇકોનિક બસપોર્ટનું આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 31274 ચોરસ મીટર જમીનમાં તૈયાર થયેલું આ બસપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ પ્રોજેક્ટ સાત વર્ષના લાંબા વિલંબ બાદ પૂર્ણ થયો છે, જેમાં કોરોનાકાળ દરમિયાન કામગીરી બંધ રહી હતી. નવનિર્મિત બસપોર્ટમાં 500 મુસાફરોની બેઠક ક્ષમતા અને 2700 વાહનોના પાર્કિંગ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે પાટણવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત લાવશે. બસપોર્ટની સ્થાપત્ય કલા પાટણની ઐતિહાસિક રાણકી વાવ અને પટોળાના પેન્ટિંગ્સથી પ્રેરિત છે, જે તેને આકર્ષક બનાવે છે. 28 તારીખથી આ નવા સંકુલમાંથી બસોનું સંચાલન શરૂ થશે, જેમાં સવારે 5.15 કલાકે પાટણ-બરોડા રૂટની પ્રથમ બસ રવાના થશે. મહેસાણા, ચાણસ્મા, હારીજ અને ઊંઝા સહિતના વિવિધ ડેપોની એક્સપ્રેસ અને લોકલ બસોને પણ અહીંથી સંચાલન કરવા સૂચના અપાઈ છે. મુસાફરોની સુવિધા માટે બસપોર્ટમાં 100 થી વધુ સ્ટીલના આરામદાયક બાંકડા મુકવામાં આવ્યા છે, જ્યાં એકસાથે 500 થી વધુ મુસાફરો બેસી શકશે. કુલ 18 બસો એકસાથે ઉભી રહી શકે તેવા બે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેમાં મુસાફરોને ચડવા અને ઉતરવા માટે અલગ-અલગ વિભાગોની વ્યવસ્થા છે. રૂટની માહિતી માટે દરેક પ્લેટફોર્મ પર LED ટીવી, પીવાના શુદ્ધ પાણી માટે RO પ્લાન્ટ અને જમવા માટે કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ રાખવામાં આવ્યા છે. વાહન પાર્કિંગ માટે બે માળનું વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે, જેમાં અંદાજે 2700 જેટલા નાના-મોટા વાહનો પાર્ક કરી શકાશે. પૂછપરછ માટે કંટ્રોલ પોઇન્ટ અને વિદ્યાર્થી પાસ માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા છે. ડ્રાઈવર અને કંડક્ટરો માટે આધુનિક રેસ્ટ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. જોકે, બસોને હાઈવે પર સ્થિત વર્કશોપમાં મુકવા જવાની અનિવાર્યતાને કારણે કર્મચારીઓને પડનારી મુશ્કેલીઓ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
PM મોદીએ ભેટ આપેલી ગણેશ મૂર્તિઓ:સોમનાથના શ્રી રામમંદિરમાં દર્શન માટે મુકાઈ
સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ત્રિવેણી રોડ પર આવેલા શ્રી રામમંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ અપાયેલી શ્રી ગણેશજીની વિવિધ મૂર્તિઓ દર્શન માટે મૂકવામાં આવી છે. આજથી દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રીઓ આ ગણેશજીની મૂર્તિઓના દર્શનનો લાભ લઈ શકશે. આ મૂર્તિઓ 'શ્રી ગણેશ રૂપદર્શન' હેઠળ પ્રદર્શિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ ગણેશજીની મૂર્તિઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામમંદિરને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આજે રામનવમીના દિવસે રાજકોટમાં રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાત પાત કી કરો વિદાઈ, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ સ્લોગન સાથે ભવ્ય રામ જન્મોત્સવ રથયાત્રા નાણાવટી ચોક ખાતેથી પ્રસ્થાન થઈ હતી. જે પૂર્વે અહીં હિન્દુ સમાજના આગેવાનો, સાધુ - સંતો અને પોલીસની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી. જે દરમિયાન હિન્દુ સંગઠન દ્વારા જાહેર કરાયું કે, સૌરાષ્ટ્રમાં દર મહિને 10 દીકરીઓ લવ જેહાદનો શિકાર બને છે. એના માટે સરકાર કાયદાઓ પણ કરી રહી છે આમ છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ પણ હિન્દુ દીકરીઓને તકલીફ હોય તો તેઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે આ મુજબ છે. 9099095525. આ નંબર પર ફોન કરી હિન્દુ દીકરીઓ મદદ મેળવી શકે છે. રથયાત્રા દરમિયાન નાના બાળકોએ શિવજીની માફક ડમરું વગાડ્યું હતું તો અયોધ્યામાં સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનો મુખ્ય રથ જોવા મળ્યો હતો. આ ઉપરાંત શિવજી, શ્રી કૃષ્ણ, હનુમાનજી, ગણેશજી અને માતાજીની પ્રતિકૃતિ સાથેના ફ્લોટ્સ જોવા મળ્યા હતા. આ રથયાત્રામાં 2000 જેટલા લોકો જોડાયા હતા. હિન્દુ આગેવાન મંગેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રામ નવમી ને અનુલક્ષીને રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન રામની ભવ્ય રથયાત્રા રાજકોટના રાજમાર્ગો પરથી નીકળી રહી છે. નાણાવટી ચોક થી શરૂ થયેલી આ રથયાત્રા શહેરના અલગ અલગ માર્ગો પર ફરશે અને ત્યાં તેનું સ્વાગત કરવામાં આવશે. જેમાં અનેક લોકો જોડાયેલા છે. જે બાદ બપોરે 12 વાગ્યે ગોંડલ રોડ ઉપર આવેલા રામજી મંદિર ખાતે ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાશે . જેમાં તમામ લોકોને પધારવા માટે આમંત્રણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુ સમાજ એક થવાની જરૂર છે તમામ નાથ અને યાદ ભુલાવી અને સમસ્ત હિન્દુ સમાજ એક થઈ આ રથયાત્રામાં જોડાય તેવું આહવાન છે. હિન્દુ દીકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે જેના માટે ગુજરાત સરકાર દ્વારા અનેક નવા કાયદાઓ બનાવવામાં આવેલા છે. જે બદલ ગુજરાત સરકારને અભિનંદન આપું છું. કોઈ પણ હિન્દુ આર્થિક, સામાજિક કે શૈક્ષણિક લાલચમાં ફસાઈ ધર્મ ન છોડે. આ સાથે જ તેમણે જણાવ્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દર મહિને 10 જેટલી દીકરીઓ લવ જેહાદનો શિકાર થાય છે. જેથી હિન્દુ સંગઠન દ્વારા આવી દીકરીઓને પરિઘ સમાજમાં જોડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ જ મામલે રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પરેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, આજે રામનવમીનો પવિત્ર દિવસ છે ત્યારે અમને વિચાર આવ્યો કે હિન્દુ સમાજને કોઈ જરૂરિયાત હોય તો કોનો સંપર્ક કરે તેથી આજે એક નંબર 9099095525 જાહેર કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કોઈ પણ હિન્દુ દીકરીઓને કોઈ તકલીફ હોય તો આ નંબર પર ફોન કરતાં હિન્દુ સંગઠનના કાર્યકર્તા ત્યાં પહોંચી જશે.
નારણપુરામાં ચૈત્રી નવરાત્રી પાટોત્સવની ઉજવણી:સત્સંગ સંધ્યામાં માતૃશક્તિની બહેનોએ ગરબા ગાયા
કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લામાં ચૈત્રી નવરાત્રી પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હર્ષાબેનના નિવાસસ્થાને સત્સંગ સંધ્યાનું આયોજન થયું હતું, જેમાં માતૃશક્તિની બહેનો દ્વારા માતાજીના ગરબા ગાઈ આનંદ વ્યક્ત કરાયો હતો. આ સત્સંગ સંધ્યામાં નારણપુરા જિલ્લાના માતૃશક્તિના સંયોજિકા હેતલબેન, સહસંયોજિકા જ્યોતિબેન અને સત્સંગના વાડજ પ્રખંડના બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્રી નવરાત્રીના પવિત્ર અવસરે આયોજિત આ પાટોત્સવમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, જ્યાં સૌએ સાથે મળીને માતાજીની આરાધના કરી હતી.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં બાઈકને ટક્કર માર્યા બાદ થયેલી બોલાચાલી ઉગ્ર બની જતા મારામારીની ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધ લોહીલુહાણ થઈ ગયા હતા. જ્યારે પક્ષે યુવક પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છાણી વિસ્તારના સ્વામીનારાયણ ટેનામેન્ટમાં રહેતા કમલેશભાઈ ગોવિંદલાલ કાછીયા (ઉ.વ.63)એ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પોતાના પુત્ર કૃષ્ણાને નોકરી માટે બાજવા મુકવા જઈ રહ્યા હતા. આશાપુરી માતાજીના મંદિર નજીક તેમની બાઈકને પાછળથી રોનક પુરોહિતે ટક્કર મારી હતી, જેના કારણે તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા. ત્યારબાદ રોનકે બંને સાથે મારામારી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અજાણ્યા એક વ્યક્તિએ આવીને તેમના પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને 112 જનરક્ષક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે બાજવા CHC ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમને નાક, પગ અને ખભા પર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ સામે પક્ષે છાણી વિસ્તારના સ્વામીનારાયણ ટેનામેન્ટમાં રહેતા રોનક નરપતસિંહ પુરોહિત (ઉ.વ.30)એ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ રામજી મંદિર પાસે આવેલ હનુમાનજીની ટેકરી ખાતે દર્શન કરવા બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન આશાપુરી માતાજીના મંદિર પાસે સામેથી કૃષ્ણા કમલેશભાઈ કાછીયા અને તેમના પિતા કમલેશભાઈ સાથે બાઈક પર જતા હતા. સાઈડ માંગવા છતાં સાઈડ ન આપતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન આરોપીઓએ ગાળો બોલી ધમકી આપી હતી અને રોનક સાથે મારામારી કરી હતી. ઝઘડો વધી ન જાય તે માટે દિપકભાઈ નામના વ્યક્તિએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. બાદમાં રોનકે 112 પર કોલ કર્યો હતો અને પોતાની તબિયત બગડતા સારવાર માટે શ્રીજી હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા. તેમને હાથ, પેટ અને પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
વેરાવળના ખુલ્લા પ્લોટમાં લાગી આગ:ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના બીહારી નગર રોડ પર, રેડ ક્રોસ બ્લડ બેન્ક સામેના એક ખુલ્લા પ્લોટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા આસપાસના લોકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ કાબૂમાં ન આવતા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. વેરાવળ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગેની માહિતી હજુ અકબંધ છે.
ચૈત્રી નવરાત્રીની આઠમના પવિત્ર દિવસે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતાજીના દર્શન અને મંગળા આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા રહ્યા હતા. આઠમ નિમિત્તે વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાવપૂર્વક જોડાયા હતા. મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હાલમાં અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રીના એકમથી લઈને આઠમ સુધી મંદિરમાં બે મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર થાય છે, જ્યારે બીજી આરતી ઘટ સ્થાપના પાસે કરવામાં આવે છે. જોકે, આવતીકાલથી અંબાજી મંદિરમાં સવારે એક જ મંગળા આરતી થશે. જગતજનની મા અંબાના આશીર્વાદ મેળવવા અને તેમની આરાધના કરવા માટે દૂર દૂરથી ભક્તો ચૈત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજીની મુલાકાત લઈ રહ્યા છે.
સીવીએમ યુનિવર્સિટીની મધુબેન એન્ડ ભાનુભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકકનોલૉજી (MBIT), ન્યૂ વલ્લભ વિદ્યાનગરના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી પટેલ શ્રેયરાજેશ GATE 2026 (Computer Science)માં ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 8 મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, CVMના વાઈસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલ, સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇંદ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયા, પ્રિન્સિપાલ ડૉ. મૌલિકા પટેલે તથા સમગ્ર બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ શ્રેયને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે, શ્રેયની આ સિદ્ધિ તેમની મહેનત, દૃઢ નિશ્ચય અને માર્ગદર્શક ફેકલ્ટીના સતત માર્ગદર્શનનું પરિણામ છે. રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત GATE પરીક્ષામાં ટોચનો રેન્ક મેળવવો એ ખૂબ ગૌરવની બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સફળતા MBIT તથા CVM યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તાને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ દર્શાવે છે કે CVMUના તેજસ્વી વિદ્યાર્થીઓ સરદાર પટેલના વિઝનને સાર્થક કરી રહ્યા છે. આ ઉપલબ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને તેઓને ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા પ્રોત્સાહિત કરશે.
બોટાદ ગુરુકુળ B.Ed. કોલેજમાં વિદાય સમારોહ યોજાયો:સેમ-4ના તાલીમાર્થીઓને શિક્ષક બનવા શુભેચ્છાઓ અપાઈ
બોટાદ: શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજ-ગુરુકુળ ખાતે સેમ-4ના તાલીમાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરુકુળના ટ્રસ્ટી શાસ્ત્રી શ્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજી, કેમ્પસ ડાયરેક્ટર મુકેશભાઈ કાનેટિયા, પૂજ્ય શાસ્ત્રી કુંજવિહારી સ્વામીજી, હાઈસ્કૂલના આચાર્ય મહેતા સાહેબ, સ્માર્ટ વિભાગના સંચાલક રવિરાજસર અને પ્રાથમિક વિભાગના આચાર્ય મેણીયા સાહેબ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને તાલીમાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજીએ તાલીમાર્થીઓને સમાજ અને દેશને ઉપયોગી શિક્ષક બનવા માટે પ્રેરણા આપી હતી. કેમ્પસ ડાયરેક્ટર મુકેશભાઈએ પણ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના પ્રથમ સેશનમાં દરેક તાલીમાર્થીને સ્મૃતિરૂપ ભેટ આપવામાં આવી હતી. આ સેશનના અંતે સૌએ સમૂહ ભોજન લીધું હતું. કાર્યક્રમના બીજા સેશનમાં તાલીમાર્થીઓએ બે વર્ષના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. સેમ-2ના તાલીમાર્થીઓ દ્વારા સુંદર ડાન્સ, હાસ્યસભર નાટક અને મિમિક્રી જેવી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રોજેક્ટર પર ફોટોગ્રાફ્સ અને વીડિયો દ્વારા છેલ્લા બે વર્ષની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની ઝલક સૌએ સાથે મળીને નિહાળી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમ-2ના તાલીમાર્થીઓ દર્શિતાબેન અને ક્રિષ્નાબેન દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર ડેકોરેશન પણ સેમ-2ના તમામ તાલીમાર્થીઓએ કર્યું હતું. બી.એડ્. કોલેજના આચાર્ય અશ્વિનભાઈ મેઘાણી સાહેબ અને સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપ્યો હતો.
અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદ ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરી દેવાયા છે. 15 માળ સુધી આગનો ધુમાડો ફેલાઈ ગયો છે. આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે લોકો નીચે ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદના છેલ્લા વિસ્તારમાં આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં આજે 26 માર્ચે સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગ વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. 15 માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. આગ ત્રીજા માળના મકાનમાં આગ લાગી હતી, જે વિકરાળ બની ગઈ હતી અને ધીમે ધીમે ચોથા માળના મકાનમાં પણ લાગી ગઈ હતી. આખા મકાનમાં આગ લાગી હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ધીમે-ધીમે આગ ચોથા માળના ઉપરના ભાગે પણ લાગી ગઈ હતી, જેથી ચોથા માળના મકાનના રહેવાસી ઘરની બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા હાલ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એ. કે. ડોંગરેના જણાવ્યા મુજબ, ફાયરબ્રિગેડ દ્વારા આગના સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડના 8 વાહનો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લઈ લીધી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ...
રામનવમીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં યોજાનારી શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે સાથે શહેરના મુખ્ય બજારો, ભીડવાળા વિસ્તારો અને રાજમાર્ગો પર પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વેરાવળ સીટી પી.આઈ. જે.એન. ગઢવીની આગેવાનીમાં પોલીસ ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત નજર રાખી રહી છે. તહેવાર દરમ્યાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પેટ્રોલિંગ સાથે સીસીટીવી મોનીટરીંગ અને સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ પર પોલીસની તૈનાતી પણ કરવામાં આવી છે. વેરાવળ પોલીસે અસામાજિક અને તોફાની તત્વોને કડક સંદેશ આપતા જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાથી વેરાવળ શહેરમાં રામનવમી પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાઈ શકે તેવા પ્રયત્નો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પ્રાંતિજ ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ:ફાયર ટીમે રાત્રે 5 કલાકમાં 7500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં ગત રાત્રિના સમયે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ડમ્પિંગ સાઇટમાં રહેલા કચરાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. જેના પરિણામે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પ્રાંતિજ ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રી સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમના મુકેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, નવાપુરા ડંપિંગ સાઇટ પર ગત રાત્રીએ આગ લાગી હતી.જેમાં કચરાની ગાસડીઓ બનાવી હતી, તે આગમાં લપેટાઈ ગઈ હતી. રાત્રે 5 કલાકમાં 7500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
ઓસ્કર એવોર્ડસ:બધા ફિલ્મી એવોર્ડસ અને તેની લોકપ્રિયતા-ઓળખનો ભીષ્મ પિતામહ
વર્ષો પહેલાં બોલિવૂડની દંતકથા સમાન અભિનેત્રી રેખાનો વાંચેલો એક ઇન્ટરવ્યૂ યાદ આવે છે. એ ઇન્ટરવ્યૂમાં રેખાએ ખૂબ મૌલિક એક વાત કરી હતી એવોર્ડસ વિશે ફિલ્મના કે કોઇપણ ક્ષેત્રના કલાકારો, સર્જકો વ્યક્તિગત જિંદગીમાં ખૂબ અસલામતી અનુભવતા હોય છે. એમને મળતા એવોર્ડસ કે સન્માન એ અસલામતી સામે એક જાતનું કવચ પૂરું પાડે છે! આ વિધાન કદાચ સાચું હોઇ પણ શકે અને કદાચ અતિશયોક્તિ પણ હોઇ શકે પણ વાતમાં દમ તો છે અને તેની પુષ્ટિ બોલિવૂડ એવોર્ડસ કે હોલિવૂડના એવોર્ડસ માટે રચાતા કહેવાતા કાવાદાવા, એને મળતું માઇલેજ, ચર્ચાઓ, એવોર્ડ સંભારભના મોટા થતાં જતાં સ્કેલ વગેરે વગેરે છે. ઓસ્કર મેળવવો એ કોઇપણ કલાકારનું સપનું હોય છેએમાંય વૈશ્વિકરણ સાથે દુનિયાના કોઇપણ દેશની ફિલ્મ, રિમોટ કન્ટ્રોલનું બટન દબાવો એટલી દૂર છે ત્યારે ગ્રેમી, એમી, ઓસ્કર જેવા દુનિયાભરની પ્રતિભાને ઓળખ અને સન્માન આપતા એવોર્ડસનો દબદબો વધી ગયો છે. એમાં પણ ઓસ્કર એવોર્ડ્સ મેળવવો એ ફિલ્મ, ડોક્યુમેન્ટરી, ટૂંકી ફિલ્મ જેવા માધ્યમો સાથે સંકળાયેલા દુનિયાના કોઇપણ કલાકાર માટે જિંદગીનું એક અતિ મહત્વનું સપનું હોય છે.અને આ સપનું કેમ ના હોય? ઓસ્કર એવોર્ડસ જેને સત્તાવાર રીતે Academy Awards કહેવામાં આવે છે, એ ફક્ત હોલિવૂડ નહીં પણ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વપ્રસિદ્ધ પુરસ્કારોમાં એક છે. દર વર્ષે Academy of Motion Picture Arts and Sciences (AMPAS) દ્વારા આપવામાં આવતા આ એવોર્ડ કે જે ઓસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખાય છે એ સોનાના રંગની એવી પ્રતિમા છે જેને હાથમાં લઇને બાથરૂમના અરીસા સામે ઓસ્કર સ્પીચ આપવાનું રિહર્સલ વિશ્વના દરેક કલાકારે એક વખત જિંદગીમાં કર્યું હોય છે. ઓસ્કરનો રસપ્રદ ઇતિહાસ1929માં જેનો પહેલો એવોર્ડ વિતરણ સમારોહ Hollywood Roosevelt Hotel ખાતે યોજાયો એના નામની પણ અજબ ગજબ કહાની છે. 1931માં એક લાયબ્રેરિયન (માર્ગારેટ હેરિક) એ ટિપ્પણી કરી કે ઓસ્કર એવોર્ડની આ પ્રતિમા તેના કાકા ઓસ્કર જેવી લાગે છે અને તેના પરથી આ નામ 1939માં એકેડેમી દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું. દુનિયાભરના લોકો જેને જોતાં જ ઓળખી જાય છે એ સેડ્રિક ગિબન્સ દ્વારા ડિઝાઇન કરાયેલી ઓસ્કરની ટ્રોફી 13.5 ઇંચ ઊંચી અને 8.5 પાઉન્ડ વજનની છે અને આ ટ્રોફી ફિલ્મ સાથે સંકળાયેલા કોઇના જીવનમાં પણ અગત્યનું વજન ધરાવે છે. વોલ્ટ ડિઝનીએ 22 વખત એવોર્ડ જીત્યો1929થી અપાતા આ એકેડેમી એવોર્ડસ અથવા ઓસ્કરનો ઇતિહાસ અનેક અવનવી, ચિત્ર-વિચિત્ર ઘટનાઓ અને બનાવોનો સાક્ષી રહ્યો છે. જેમ કે બાળકો જ નહીં મોટેરાઓમાં પણ અમર થઇ ગયેલા ડિઝની મૂવીના વોલ્ટ ડિઝનીએ 22 વખત ઓસ્કર એવોર્ડ જીતીને તોડી ના શકાય એવો રેકોર્ડ બનાવ્યો છે. રિટર્ન ઓફ ધ કિંગ સૌથી વધુ ઓસ્કર જીતવાનો રેકોર્ડ ધરાવે છે. જેમાં તેને મળેલા 11 નોમિનેશનમાંથી 11 એ 11 એવોર્ડસ જીતે છે. ટાટમ ઓ'નીલને ફક્ત 10 વર્ષની ઉંમરે પેપર મૂન (1974) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. છતાં ઓસ્કરનો ઇતિહાસ પણ અમેરિકન રંગભેદના ઇતિહાસની જેમ સોનામાં લોઢાની મેખ જેવી કેટલીક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. જેમકે હેટી મેક ડેનિયલ ઓસ્કર જીતનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા (1940) પરંતુ તેમને જે હોટેલમાં એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો ત્યાં એક અલગ ટેબલ પર બેસવાની ફરજ પડી. પણ ત્યાર પછીનો ઇતિહાસ અસંખ્ય અશ્વેત કલાકારોને મળેલા ઓસ્કર માન સન્માનથી ભરેલો છે. 2010માં ધ હર્ટ લોકર માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીતનાર કેથરિન બિગેલો જે પ્રથમ મહિલા દિગ્દર્શક હતી ત્યારથી ઓસ્કર 2025માં આપણી પોતાની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એવૉર્ડ નોમિનેશન માટે સ્ટેજ પર આવે ત્યાં સુધી ઘણી બધી ચડતી પડતી અને વાદ વિવાદો જોયા છે. જેના પર એક અલાયદો લેખ થઇ શકે. ભારતીય કલાકારોએ ઓસ્કરમાં ડંકો વગાડ્યોઆજે જે ઓસ્કર સમારોહ સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ સાથે ભવ્ય રીતે ઉજવાય છે અને લાખો લોકો તેને ઉત્સાહપૂર્વક જુએ છે એ ઓસ્કરમાં અનેક કેટેગરી હોય છે. જેમ કે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ વગેરે. ઓસ્કર એવોર્ડસ ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે નવી પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને ફિલ્મોની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. ઉપરાંત ઓસ્કર જીતવાથી ફિલ્મોની લોકપ્રિયતા અને વ્યાપારિક સફળતા પણ વધે છે. ઘણા નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે આ એવોર્ડસ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ છે. જેમ કે આપણા સત્યજિત રે થી શરુ કરીને એ.આર.રહેમાન, પાયલ કાપડિયા, ભાનુ અથૈયા ઉપરાંત બીજા ઘણા ભારતીય મૂળના કલાકારોને આ એવોર્ડ મેળવ્યા પછી દુનિયા ઓળખતી થઇ છે. અને હવે સમય એવો આવ્યો છે કે ઓસ્કર સમારોહ માત્ર એવોર્ડ વિતરણ સુધી સીમિત નથી. તેમાં ફેશન, રેડ કાર્પેટ, સામાજિક મુદ્દાઓ અને વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગના ટ્રેન્ડ્સ પણ જોવા મળે છે. બોલિવૂડના કોઇપણ એવોર્ડ સમારોહમાં એક યા બીજા કારણોસર હાજર નહીં રહેતા અને કોઇપણ એવોર્ડ નહીં સ્વીકારતા, સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ એમના દ્વારા અભિનીત અને નિર્મિત ફિલ્મ લગાનને ઓસ્કર મળે એ માટે ખૂબ બધું લોબિંગ, પ્રચાર કરે એ એકેડેમી એવોર્ડસ ઓસ્કરની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા સાબિત કરે છે! સફળતા અને પ્રતિષ્ઠાનું પ્રતિકઓસ્કર ટ્રોફી જેને Oscar statuette કહેવામાં આવે છે. સોનાના રંગની પ્રતિમા છે જેમાં એક યોદ્ધા ફિલ્મ રીલ પર ઊભો હોય છે. આ ટ્રોફી ફિલ્મ જગતમાં સફળતા અને પ્રતિષ્ઠાનું પ્રતિક માનવામાં આવે છે. કોઇપણ અભિનેતા અથવા ફિલ્મ નિર્માતા માટે ઓસ્કર જીતવું તેમની કારકિર્દીનું મોટું સપનું ગણાય છે. વર્ષોથી ઘણા પ્રસિદ્ધ કલાકારોએ ઓસ્કર જીત્યા છે. જેમ કે મેરિલ સ્ટ્રીપ, લિયોનાર્દો દ કેપ્રિયો, કેથરિન હેપબર્ન. આ કલાકારો તેમના ઉત્તમ અભિનય અને ફિલ્મોમાં આપેલા યોગદાન માટે જાણીતા છે. ઓસ્કર એવોર્ડસ ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે નવી પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને ફિલ્મોની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. ઓસ્કર જીતવાથી ફિલ્મોની લોકપ્રિયતા અને વ્યાપારિક સફળતા પણ વધે છે. ઘણા નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે આ એવોર્ડસ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામોમાં હવન:માતાનામઢ અને ભુજ આશાપુરા મંદિરે હવનમાં બીડું હોમાયું
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વના સાતમા નોરતે બુધવારે રાત્રે 8.30 કલાકે હોમ હવનની ધાર્મિક વિઘી સાથે મોડી રાત્રે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમવામાં આવ્યું હતું. યજ્ઞના આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નવ કલાકે માં આશાપુરાજી પૂજન અર્ચન સાથે યજ્ઞ વિધિ પ્રારંભ થયા બાદ મોડી રાત્રે બેડું આવ્યું હતું. જેમાં જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી તેમજ ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલ કટારીયા, મયુરસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ઢોલ શરણાઈના નાદ સાથે રાત્રે જાગીર અધ્યક્ષ દ્વારા મા આશાપુરા માતાજી તેમજ હિંગળાજ માતાજીના મંદિરે આરતી ઉતારવામાં આવી હતી. ભુજ આશાપુરા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધાર્મિક ઉત્સાહ સાથે વિવિધ વિધિઓ યોજાઈ રહી છે. સાતમના પવિત્ર દિવસે રાત્રે 9:30 કલાકે રાજકોષી પૂજા સાથે હવન વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય આચાર્ય નિકુંજભાઈ જોશી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરાવાઇ હતી. સહાયક આચાર્ય તરીકે મિતેશભાઈ જાની અને દિવ્ય ત્રિવેદીએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. જયઘોષ વચ્ચે પૂજારી જનાર્દન પી. દવેના હસ્તે બીડું હોમાયું હતું. પૂજન વિધિ દરમિયાન પૂજારી કવચ અને મારુત દવે પણ સેવા માટે હાજર રહ્યા હતા. ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે કચ્છની મહારાણી પ્રીતિ દેવીએ કચ્છવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી.
સુરત મહાનગપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ખજોદ ડમ્પીંગ સાઈટ પર એકત્ર થયેલા ઘનકચરાના નિકાલ માટે અપાયેલા કોન્ટ્રાક્ટને લઈ સવાલો ઉઠ્યા છે. ઘનકચરાનો નિકાલ કરતી એજન્સી સદંતર નિષ્ફળ રહી હોવા છતા મનપા કામ કરાવવા માટે જાણે લાચાર હોય તે રીતે વધુ 10 મહિનાનું એક્સ્ટેન્શન આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સવાર એ પણ થાય છે કે, જે કામ ત્રણ વર્ષોમાં ન થયું તે 10 મહિનામાં કઈ રીતે થશે. વાપીની સી.ડી. ટ્રાન્સપોર્ટ કંપનીને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો લક્ષ્યાંક હતો, જેની સામે કંપની માત્ર 13.62 લાખ ટન જ નિકાલ કરી શકી છે. એટલે કે 50% થી પણ ઓછી કામગીરી છતાં 10 મહિનાનો નવો કોન્ટ્રાક્ટ આપવાના નિર્ણય લેવાયો અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ ખજોદ સાઇટ પર ફરીથી ભીષણ આગ ફાટી નીકળી છે. છેલ્લા 53 દિવસમાં આ બીજી ઘટના છે.જે સૂચવે છે કે કચરાના નિકાલમાં થયેલી નિષ્ફળતાને છુપાવવા માટે આ 'મેનમેઇડ' આપત્તિ તો નથી ને? તેવા સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયાએ આક્ષેપ છે કે કંપની કચરાનો નિકાલ કરવામાં 50% નિષ્ફળ રહી છે, તેથી જમા થયેલા કચરાના ડુંગરોનો નિકાલ કરવાને બદલે તેને સળગાવી દેવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કર પાસે ઠરાવની કોપી, સમયમર્યાદામાં કામ ન થયાનો પાલિકાનો સ્વીકારદિવ્ય ભાસ્કર પાસે રહેલા પાલિકાના ઠરાવની કોપી સ્પષ્ટ કરે છે કે ઉચ્ચ અધિકારીઓ બધું જાણતા હોવા છતાં મૌન છે. પાલિકાએ ઠરાવમાં પોતે સ્વીકાર્યું છે કે તેઓ નિર્ધારિત જથ્થો પ્રોસેસ કરી શક્યા નથી.ભાસ્કર પાસે જે ઠરાવની કોપી છે તેમાં પાલિકા એ પોતે સ્વીકાર્યું છે કે, ખજોદ ખાતે ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સી.ડી. ટ્રાન્સપોર્ટને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરવાનું હતું. જોકે, પાલિકાના સત્તાવાર રિપોર્ટ મુજબ, કંપની માત્ર 13,62,448 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ કરી શકી છે. એટલે કે અડધોઅડધ કચરો હજુ પણ સાઇટ પર પડ્યો છે. આ નિષ્ફળતા છતાં કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે તેને ફરીથી કામ સોંપવામાં આવ્યું છે. દૈનિક 2500 ટન નિકાલનો ફિયાસ્કોવર્ક ઓર્ડર મુજબ કંપનીએ દરરોજ 2500 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો. 2022થી શરૂ થયેલી આ કામગીરીમાં કંપની ક્યારેય આ આંકડા સુધી પહોંચી શકી નથી. પરિણામે પાલિકાએ તેના રનિંગ બિલોમાંથી 40,02,750 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરી છે. દંડ વસૂલવો એ સાબિત કરે છે કે કંપની કામ કરવામાં સક્ષમ નથી, છતાં પાલિકાના શાસકો તેના પર મહેરબાન છે. ખજોદમાં વારંવાર લાગતી આગ પાછળનું રહસ્યછેલ્લા 53 દિવસમાં બે વાર લાગેલી આગ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, પણ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ આગ કુદરતી નથી પણ લગાડવામાં આવી છે. કચરાનો જથ્થો ઓછો બતાવવા અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા આ ગતકડું કરાયું હોવાની પૂરી આશંકા છે. ડાયમંડ બુર્સની આબરૂ બચાવવા વધારાનો ખર્ચખજોદ સાઇટ ડાયમંડ બુર્સની બિલકુલ સામે હોવાથી ત્યાં ગંદકી ન દેખાય તે માટે પાલિકાએ પોતાના ખર્ચે રસ્તા બનાવ્યા અને કચરો ખસેડ્યો હતો. આ કામગીરી પાછળ પાલિકાને 2.22 કરોડથી વધુનો ખર્ચ થયો છે જે ઇજારદાર પાસેથી વસૂલવાનો છે. કંપનીના પાપે પાલિકાની તિજોરી પર બોજ વધી રહ્યો છે, છતાં અધિકારીઓ તેને એક્સટેન્શન આપવા માટે મરણીયા થયા છે. 5 વખત ટેન્ડર બહાર પાડ્યા છતાં 'નો રિસ્પોન્સ'જૂનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા પાલિકાએ 5-5 વખત નવા ટેન્ડર બહાર પાડ્યા હતા, પણ કોઈ કંપનીએ ટેન્ડર ભર્યું નહીં. પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ છે કે, ટેન્ડરની શરતો એવી રીતે રાખવામાં આવી હતી કે કોઈ નવી કંપની આવી જ ન શકે અને અંતે સી.ડી. ટ્રાન્સપોર્ટને જ મુદત વધારો આપવાનો રસ્તો સાફ થઈ જાય. 213 કરોડનું કૌભાંડ અને વિપક્ષનો હોબાળોવાપીની આ એજન્સી પર અંદાજિત 213 કરોડ રૂપિયાના કૌભાંડના આક્ષેપો છે. કચરાના નિકાલના નામે માત્ર આંકડાકીય માયાજાળ રચીને પેમેન્ટ મેળવવામાં આવતું હોવાની ચર્ચા છે. વિપક્ષે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. જ્યારે કંપની 50% કામ પૂરું કરી શકી નથી, ત્યારે તેને કયા આધારે નવો 9 લાખ ટનનો જથ્થો સોંપવામાં આવ્યો તે મોટો પ્રશ્ન છે. ઉબેર ખાતે નવા પ્લાન્ટમાં વિલંબનો ફાયદોપાલિકા હવે ઉબેર ખાતે નવો પ્લાન્ટ બનાવી રહી છે, પણ તે એપ્રિલ 2026 પહેલા શરૂ થાય તેમ નથી. વરસાદ અને પર્યાવરણ ક્લિયરન્સના બહાના હેઠળ આ પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે જેથી ખજોદમાં સી.ડી. ટ્રાન્સપોર્ટની મનમાની ચાલુ રહી શકે. વિલંબ જેટલો વધારે, તેટલો જ ફાયદો આ કોન્ટ્રાક્ટર કંપનીને થઈ રહ્યો છે. પેનલ્ટી છતાં 10 મહિનાનું 'ગોલ્ડન' એક્સટેન્શનસામાન્ય રીતે જે કંપની દંડ ભરે તેને ફરી કામ મળતું નથી, પણ અહીં નિયમો નેવે મૂકાયા છે. 4 જાન્યુઆરી 2026ના રોજ કામ પૂરું થતું હોવા છતાં, પાલિકા કમિશનરે 10 મહિનાનો વધારો આપવાની દરખાસ્ત તૈયાર કરી છે. આ દરખાસ્તમાં કંપનીને હયાત ભાવે જ કામ ચાલુ રાખવા જણાવાયું છે, જે અનેક શંકાઓ જન્માવે છે. વિપક્ષે સમગ્ર પ્રોસેસને લઈ ગંભીર સવાલ ઉઠાવ્યાપૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયા એ જણાવ્યું હતું કે, કંપનીને ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, સીડી ટ્રાન્સપોર્ટ. એમને સુરત શહેરમાંથી રોજ 2500 મેટ્રિક ટન કચરો બહાર નીકળે છે, પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવાના અને છેલ્લા ત્રણ વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો. પરંતુ આ ઈજારદાર દ્વારા ત્રણ વર્ષમાં ફક્ત અને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કર્યો છે. બાકીનો જે 16 લાખ મેટ્રિક ટન કચરો છે એ પ્રોસેસ કર્યા વગરનો, સાયન્ટિફિક વે પ્રોસેસ કર્યા વગરનો એ સ્થળ પર જ, ખજોદ ડમ્પિંગ સાઈટ પર એઝ ઈટ ઈઝ છે. એટલે ક્યાંકને ક્યાંક આ કોન્ટ્રાક્ટરને છાવરતા હોય અને પોતાની કેપેસિટી કે એવી એડવાન્સ કોઈ પણ એની પાસે મશીનરી નથી, છતાં પણ એને આ કોન્ટ્રાક્ટરને ફરીથી વધુ 10 મહિના માટે કોન્ટ્રાક્ટ એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલી વાત તો કે જ્યારે આ પાર્ટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ને શરૂઆતથી જ આની કેપેસિટી નથી, રોજનો 2500 મેટ્રિક ટન કચરાનો નિકાલ નથી કરી શકતો તો ત્યારથી ટેન્ડર બહાર પાડીને નવા ટેન્ડરરો લાવવાની જરૂર હતી. પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ટેન્ડરની કન્ડિશનો એવી રાખે છે કે એમાં એક જ પાર્ટી સેટ થાય એટલે એના માનીતા અને જે પણ જેમની જે આમાં ભાગીદારી છે એવા જ કોન્ટ્રાક્ટરોને સેટ કરવા માટે કોન્ટ્રાક્ટર... કોન્ટ્રાક્ટરની કન્ડિશનો રાખવામાં આવે છે. એટલે જ કોઈ નવા કોન્ટ્રાક્ટરો સુરતમાંથી અથવા ભારતમાંથી આવતા નથી. આવું જ ભૂતકાળમાં ઉંભેર ખાતે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં પણ બે વાર પ્રયત્ન કરવા છતાં ભારત આખામાંથી કોઈ કોન્ટ્રાક્ટર એમાં સેટ એટલે નોતો થતો કે એમણે સિવિલ વર્કને પ્રોસેસ વર્ક સાથે જોઈન્ટ કરેલું હતું એટલે ઇન્ડિયામાં ફક્ત એક જ કોન્ટ્રાક્ટર એવી જ રીતે આ સીડી ટ્રાન્સપોર્ટ એક જ કોન્ટ્રાક્ટર સેટ થાય એ રીતે ટેન્ડર કન્ડિશનો બનાવવામાં આવી છે.
તાજેતરમાં નકલી ચલણી નોટો છાપવાના કેસમાં પકડાયેલા પ્રદીપ ગુરુના એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. યોગ અને અધ્યાત્મની આડમાં ચાલતા પ્રદીપના પાપ છાપરે ચઢીને પોકારે છે. પૂર્વ સાધકોએ પ્રદીપ ગુરુ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. માત્ર એટલું જ નહીં, પૂર્વ સાધકોએ પ્રદીપ પર આક્ષેપો કર્યા કે, આશ્રમ( સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમ)માં રાત્રે યુવતીઓ લાવતો હતો. રાત્રે વોટ્સએપ ચેટમાં લવયુના મેસેજ સહિત વાતો કરતો રહેતો હતો. તેમજ આ ચેટના 1500 સ્ક્રીન શોટ હોવાનો પણ દાવો કર્યો છે. પૂર્વ સાધકોએ પૂરાવા સાથે આક્ષેપ કર્યો છે કે પ્રદીપ રાત્રે 12:00 વાગ્યાથી સવારના 05:00 વાગ્યા સુધી અલગ-અલગ યુવતીઓ સાથે વોટ્સએપ પર ચેટિંગ કરતો હતો. પૂર્વ સાધકો દ્વારા આપવામાં આવેલા ચેટ્સના સ્ક્રીન શોટ્સમાં 'દિક્કુ', 'લવ યુ' જેવા શબ્દો અને અત્યંત અંગત વાતોનો સમાવેશ થાય છે. 'મહિલાઓ પાસે પોતાની મરજીથી આશ્રમમાં આવતી હોવાનું લખાવી લેતો'આ અંગે એક પૂર્વ સાધકે જણાવ્યું છે કે, આ કથિત ગુરુ એટલો ચાલાક હતો કે ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી ન આવે તે માટે તે અગાઉથી તૈયારી રાખતો હતો. આશ્રમમાં આવતી મહિલાઓ પાસે એવું લખાણ લખાવી લેતો કે પોતાની મરજીથી આશ્રમમાં આવી રહી છે. જો કોઈ યુવતી શોષણ સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે, તો તેને આ લખાણ બતાવીને અથવા પૈસા આપીને ચૂપ કરી દેવામાં આવતી હતી. આ એક સુનિયોજિત રેકેટ હોવાનું પૂર્વ સાધકો જણાવી રહ્યા છે. 'પત્ની ક્રિષ્ના અને સ્ટાફ પાસે પણ વીડિયો પુરાવા'પૂર્વ સાધકે જણાવ્યું છે કે, ચોંકાવનારી વાત એ છે કે પ્રદીપની આ કરતૂતો વિશે તેની પત્ની ક્રિષ્નાને પણ બધી જ ખબર હતી. પત્ની આ બધું સહન ન કરી શકતા છોડીને જતી રહી છે. આ ઉપરાંત, સંસ્થામાં કામ કરતી એક મહિલા સ્ટાફ પાસે પણ વાંધાજનક વીડિયો અને 1500 જેટલા સ્ક્રીનશોટ છે. જોકે, આ સ્ટાફ મેમ્બરને 35 લાખનો ફ્લેટ આપીને તેનું મોઢું બંધ કરાવી દેવામાં આવ્યું હતું. 90 લાખની આર્થિક છેતરપિંંડીમાત્ર શારીરિક શોષણ જ નહીં, પણ આર્થિક છેતરપિંડીમાં પણ આ કથિત ગુરુ અવ્વલ છે. આશ્રમના નિર્માણ અને અન્ય સેવાકીય કાર્યોના નામે સાધકો પાસેથી અંદાજે 90 લાખ રૂપિયા ઉછીના લેવામાં આવ્યા હતા. પૂર્વ સાધકો પાસે આ પૈસાની રસીદો પણ છે. લાખો રૂપિયા પચાવી પાડ્યા બાદ જ્યારે સાધકો નાણાં પરત માંગે ત્યારે ધમકીઓ આપવામાં આવતી હતી. 'પ્લોટ વેચાશે ત્યારે જ પૈસા મળશે'એક વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં પ્રદીપનો અસલી અહંકારી ચહેરો જોવા મળે છે. જ્યારે એક સાધક પોતાના પૈસા પરત માંગે છે, ત્યારે ગુરુ કહે છે, તમારી તાકાત હોય તો કઢાવી લ્યો, પ્લોટ વેચાશે ત્યારે જ પૈસા મળશે. આ ક્લિપમાં તે સાધકને ધમકાવતા અને ફોન કાપી નાંખવાની વાત કરતા સંભળાય છે. એક ગુરુના મુખેથી આવી ગુંડા જેવી ભાષા સાંભળીને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘થાય તે કરી લેજો, મર્ડર કરવું તો તો છૂટ છે’આ વાઇરલ ઓડિયોમાં જ્યારે સાધક નમ્રતાથી વાત કરે છે, ત્યારે પ્રદીપ ઉશ્કેરાઈને કહે છે, તમારાથી જે થાય ઈ કરી લેજો, કેસ કરવો હોય કે મર્ડર કરવું હોય તો છૂટ છે. આ શબ્દો સાબિત કરે છે કે આ કથિત યોગગુરુને કાયદાનો કોઈ ડર નથી. તેઓ પોતાની વગનો ઉપયોગ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના સાધકોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાધકોનું કહેવું છે કે જે વ્યક્તિ શાંતિની વાતો કરે છે તે જ હિંસાની ભાષા બોલે છે. ‘કરોડોની કાર્સ છે પણ પૈસા નથી આપતો’પૂર્વ સાધકોનો આરોપ છે કે પ્રદીપ પાસે ફરવા માટે કરોડો રૂપિયાની લક્ઝુરિયસ કાર્સ છે અને ભવ્ય જીવન જીવે છે, પરંતુ જ્યારે સાધકોના પૈસા ચૂકવવાની વાત આવે ત્યારે તે પોતાની પાસે એક રૂપિયો પણ ન હોવાનું નાટક કરે છે. ‘મારી પાસે 50,000 પડ્યા હશે તોય હું કોઈને નહીં આપું’ એવું બોલતો પ્રદીપ બેફામ બન્યો હતો. નાના માણસો પાસેથી પૈસા પડાવીને પોતાની એશોઆરામની જિંદગી બનાવી હોવાનું સાધકોનું માનવું છે. પૂર્વ સાધકો દ્વારા રજૂ કરવામાં આવેલા વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સમાં પ્રદીપ અને મહિલાઓ વચ્ચેના સંવાદો અત્યંત વાંધાજનક છે. ચેટમાં 'રોજ વાત કરે છે ને' જેવી વાતો અને મોડા મળવા આવવા અંગેના સવાલો છે. કેટલીક ચેટ્સમાં મહિલાઓ રડતા ઈમોજી સાથે પોતાની વ્યથા ઠાલવતી જોવા મળે છે. આ સંવાદો કોઈ ગુરુ-શિષ્યાના નહીં પણ પ્રેમી-પ્રેમિકાના હોય તેવા જણાય છે. 'ચણાનો લોટ લાખો રૂપિયામાં નથી આવતો'પ્રદીપ પોતાની છબિ સુધારવા માટે લોકસેવાના કામો કરતા હોવાનો દેખાવ કરતો હતો. ઓડિયો ક્લિપમાં સાધકે જ્યારે પૂછ્યું કે તમે દાન કરવાના પૈસા ક્યાંથી લાવો છો, ત્યારે પ્રદીપે ઉદ્ધત જવાબ આપ્યો કે 'ચણાના લોટ લાખો રૂપિયામાં નથી આવતો'. સાધકોનો આક્ષેપ છે કે લોકોના પૈસા પરત ન આપવા પડે એટલે તેઓ નાની-મોટી ચીજોનું દાન કરીને પોતાની જાતને દાનવીર સાબિત કરવાનો નિરર્થક પ્રયાસ કરતો હતો. 'મને બધો અનુભવ છે કે વહીવટ કેમ કરવો'જ્યારે સાધકોએ વહીવટ અંગે પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે પ્રદીપે પોતાની 24 વર્ષની જૂની સંસ્થા અને અનુભવનો રોફ જમાવ્યો હતો. તેઓ કહે છે કે ‘આ કઈ આજકાલની સંસ્થા નથી, મને બધો અનુભવ છે કે વહીવટ કેમ કરવો.’ પૂર્વ સાધકોનું કહેવું છે કે આટલા વર્ષો સુધી તેણે ભક્તિના નામે માત્ર પોતાની જાળ બિછાવી હતી અને હવે જ્યારે સત્ય સામે આવ્યું છે ત્યારે તેઓ પોતાના પાવરનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પૂર્વ સાધકો મેદાને પડ્યાઆ કૌભાંડ બહાર આવ્યા બાદ પૂર્વ સાધકોના પરિવારો પણ મેદાનમાં આવ્યા છે. પૂર્વ સાધકોની પત્નીઓએ જ્યારે ગ્રુપમાં 'પહેલા લોકોના દેવા ચુકવો અને પછી દાન કરવા નીકળો' એવા મેસેજ કર્યા, ત્યારે પ્રદીપે તેને 'હલકા મેસેજ' ગણાવ્યા હતા. સાધકો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પાખંડી પ્રદીપનો અસલી ચહેરો જનતા સામે લાવી રહ્યા છે. 'બદનામીના ડરથી અનેક મહિલાઓ હજુ મૌન'પૂર્વ સાધક જણાવે છે કે હજુ પણ ઘણી એવી યુવતીઓ અને મહિલાઓ છે જેમના વીડિયો અને ચેટ્સ પ્રદીપ પાસે છે. સામાજિક બદનામીના ડરથી આ મહિલાઓ આગળ આવી રહી નથી. પ્રદીપની આ નબળાઈનો ફાયદો ઉઠાવીને તેને બ્લેકમેલ કરતો હોવાની પણ શક્યતા છે. પૂર્વ સાધકોએ તમામ પીડિતોને હિંમત રાખીને સામે આવવા અપીલ કરી છે જેથી આ ગોરખધંધા કાયમ માટે બંધ થઈ શકે. નકલી કરન્સીના તાર પણ આશ્રમ સાથે જોડાયાસુરતમાં પકડાયેલા નકલી નોટોના કૌભાંડમાં પણ પ્રદીપનું નામ ઉછળતા પોલીસ તપાસ તેજ બની છે. આર્થિક છેતરપિંડી અને નકલી કરન્સી વચ્ચે કોઈ મોટું કનેક્શન હોવાની આશંકા સેવાઈ રહી છે. ભક્તો પાસેથી લીધેલા 90 લાખ રૂપિયા ક્યાં વપરાયા અને તેનો સોર્સ શું હતો, તે અંગે હવે ઊંડાણપૂર્વકની તપાસની માંગ ઉઠી છે. જો પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો હજુ પણ ઘણા મોટા માથાઓના નામ બહાર આવી શકે છે. શું છે મામલો?19 માર્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે પ્રદીપ ગુરુ સહિત 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની હતા. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. ત્યાર બાદ તમામ આરોપીને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. પ્રદીપ ગુરુ નકલી નોટ છાપવાના મશીન માટે ચીન ગયો હતોઆરોપીન પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પ્રદીપ ગુરુ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો હતો. પ્રદીપે નકલી નોટો છાપીને થનાર નફામાં 50 ટકા ભાગ રાખ્યો હતો. એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતાં હતાં.(વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો સત્યમ યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ 19 માર્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) યોગ ગુરુ-જમીન દલાલ બેડરૂમમાં જ પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા જે હાથમાં યોગની મુદ્રાઓ અને માળા હોવી જોઈએ, એ હાથોમાં આજે 500-500ની નકલી નોટોના થોકડા છે! સુરતનો એક કહેવાતો યોગ ગુરુ અને જમીન દલાલ રાતોરાત અમીર બનવાના એવા રવાડે ચઢ્યા કે ઘરના ખૂણે જ કલર પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે ફોર્ચ્યુનર કાર રોકી ત્યારે અંદરથી એટલી નોટો નીકળી કે પોલીસ ગણતા-ગણતા થાકી ગઈ અને આખરે બેંકમાંથી નોટો ગણવાનું મશીન મંગાવવું પડ્યું. આ હાઈ-પ્રોફાઈલ રેકેટમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ભાસ્કર બતાવે છે પ્રદીપ ગુરૂનો 'રહસ્ય લોક' અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે(18 માર્ચ) એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની હતી. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. આ પણ વાંચો : 'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે': યોગ ગુરૂ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી હતી. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે દિવ્ય ભાસ્કર પણ પ્રદીપ ગુરુજીના ‘રહસ્યલોક’માં પહોંચ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) યોગ ગુરૂ તો ગજબનો નીકળ્યો, આશ્રમમાં ઓપરેશન થિયેટર! આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ધોરણ 12 ભણેલો આ નકલી યોગ ગુરૂ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર હૃદયના બ્લોકેજ અને કેન્સજ જેવી જીવલેણ બીમારી દૂર કરી આપવાની ગેરંટી આપતો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) નકલી યોગગુરુ સાથે શંકરસિંહ વાઘેલાનો વીડિયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટોના કેસમાં ધરપકડ કરેલા કથિત યોગગુરુ પ્રદીપ જોટંગીયાના પાપનું પોટલું હવે એકપછી એક ચોંકાવનારા ખુલાસાઓ સાથે ખૂલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ નકલી ગુરુના આશીર્વાદ લેતા હોય તેવો જૂનો વીડિયો વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે, તો બીજી તરફ સુરતના સામાજિક કાર્યકર વલ્લભભાઈ ચોથાણીએ આ 'ભોગગુરુ' સામે 2 લાખની છેતરપિંડી, વાઘના ચામડાનો ઉપયોગ અને ડૉક્ટરી ડિગ્રી વગર કેન્સર તથા હાર્ટ એટેકની જોખમી સારવાર કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ પણ વાંચો: નકલી ‘યોગગુરુ’ પ્રદીપના કારનામા ખુલ્યાં માત્ર ધોરણ 12 પાસ હોવા છતાં યુટ્યુબના સહારે ડોક્ટર બની બેઠેલા આ ઠગ વિરુદ્ધ દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ કડક તપાસના આદેશ આપ્યા છે, જેનાથી આગામી દિવસોમાં આ આંતરરાજ્ય છેતરપિંડીના નેટવર્કમાં અનેક મોટા માથાઓના નામ ખૂલે તેવી શક્યતા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાંથી રહસ્યમય ભોયરું મળ્યું સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમમાં નકલી ચલણી નોટનાં રેકેટમાં પકડાયેલા યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાએ અંદરની ગતિવિધીઓ ગુપ્ત રાખવા માટે આશ્રમની ચોમેર 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી હતી. તેમજ આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે જ અન્ય ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ રૂ. 15થી 18 હજાર લઈને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) પાખંડી યોગ ગુરૂ પ્રદીપ સામે આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો સુરતમાં કરોડોની નકલી નોટોના કૌભાંડમાં જેલના સળિયા ગણી રહેલા કથિત યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાની મુશ્લેકીમાં હવે મોટો વધારો થયો છે. અત્યાર સુધી માત્ર પોલીસ તપાસનો સામનો કરી રહેલા આ ઢોંગી બાબા સામે હવે સુરતના આયુર્વેદિક ડોક્ટરો લાલઘૂમ થયા છે. યોગ શીખવવાની આડમાં કોઇપણ મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદિક પ્રેક્ટિસ કરી લોકોના સ્થાસ્થ્ય સાથે ચેડાં કરનાર પ્રદીપ સામે કડક કાર્યવાહી માંગ ઉઠી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
કચ્છમાં કુદરત રૂઠી:ભુજ, અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ઝાપટા
છેલ્લા એક સપ્તાહથી કચ્છના વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. હવામાન વિભાગની કોઈ પણ પ્રકારની આગાહી વગર જ અચાનક આવેલા ભારે પવન અને કરા સાથેના વરસાદે કચ્છના વિવિધ વિસ્તારોને બાનમાં લીધા છે. 19 માર્ચના થયેલા ભારે માવઠા બાદ છેલ્લા ત્રણ દિવસમાં ફરી બે વખત વરસેલા વરસાદે ખેતીના પાકને પાયમાલ કરી દીધો છે. બુધવારે ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાં ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. આ ઉપરાંત ભુજોડી, કુકમા અને કાળી તલાવડી જેવા વિસ્તારોમાં કરા પડવાને કારણે ઉભા પાકને વ્યાપક નુકસાનીની સંભવના છે. માત્ર ભુજ જ નહીં, પરંતુ અંજાર તાલુકાના ખોખરા, અંબાપર, સતાપર અને લાખાપર જેવા ગામોમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. 19 માર્ચના માવઠામાં ખેડૂતોએ જે નુકસાન સહન કર્યું હતું, તેમાંથી હજુ માંડ બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ છેલ્લા બે દિવસના વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખેતીના પાક હવે લણણીના આરે હતા, ત્યારે જ આ ગામોમાં ભારે પવન અને કરા સાથે ઝાપટા થતા ખેડૂતોનો ‘મોઢે આવેલો કોળિયો’ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જીરું, રાયડો અને ઉનાળુ પાકોમાં વ્યાપક નુકસાન થતા ધરતીપુત્રો આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે. માધાપરમાં પવનથી કથા મંડપને નુકસાન, લોકોએ ફરી ઉભો કર્યો અચાનક ફૂંકાયેલા જોરદાર પવન અને કમોસમી વરસાદના ઝાપટાંએ માધાપરમાં ચાલતી રામકથાના મંડપ-સામિયાણાને નુકશાની પહોચાડી હતી. જોકે, આ આફત સામે માધાપરની ખુમારી ઝળકી ઉઠી હતી. અગ્રણીઓ અરજણભાઈ ભુડિયા અને નારણભાઈની આગેવાનીમાં યુવાનો અને મહિલાઓ મંડપને પુન : ઉભો કરવા માટે કામે લાગી ગયા હતા. નુકસાન છતાં, ગામના ભાઈ-બહેનોએ જે રીતે સંકટ સમયમાં સમારકામ હાથ ધર્યું, તેણે 1971ના યુદ્ધ વખતે રાતોરાત હવાઈ પટ્ટી તૈયાર કરનાર માધાપરની વીરાંગનાઓની યાદ તાજી કરાવી દીધી હતી. માર્ચમાં માવઠું યથાવત : કચ્છમાં ફરી એકવાર 29 અને 30 માર્ચે વરસાદની આગાહી કરાઇમાર્ચ મહિનાની શરૂઆતમાં અસહ્ય ગરમીનો અનુભવ કર્યા બાદ, મહિનાના અંતિમ દિવસોમાં કચ્છના હવામાનમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 19 માર્ચથી શરૂ થયેલા કમોસમી વરસાદનો સિલસિલો હજુ પણ થંભવાનું નામ લેતો નથી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 29 અને 30 માર્ચના રોજ કચ્છ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી માવઠું થવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 માર્ચે કચ્છની સાથે બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે 30 માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધવાની સંભાવના છે. આ દિવસે કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં પણ માવઠું ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ગાંધીધામ પાસે ટ્રેઇલરમાં અથડાતા ડમ્પર ચાલકનું મોત
ગાંધીધામ-ભચાઉ હાઇવે પર ચુંગીનાકા પાસે ગત મોડી રાત્રે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં વોંધના રબારી યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. ટ્રેઇલર ચાલકની બેદરકારીને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકના ભાઈએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભચાઉના વોંધ ગામે રહેતા પપુભાઈ રાણાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,તા.૨૪ માર્ચની રાત્રે ત્રણેક વાગ્યે તેમના ભત્રીજા શીવાભાઈનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ગાંધીધામ ખાતે દેવાભાઈના ડમ્પરને અકસ્માત નડ્યો છે અને તેમનું નિધન થયું છે. સમાચાર મળતા જ પરિવારજનો તાત્કાલિક ગાંધીધામ દોડી આવ્યા હતા. મૃતક દેવાભાઈ પોતાનું ડમ્પર લઈને ચુંગીનાકા પુલ પર ચડી રહ્યા હતા. તે દરમિયાન આગળ જઈ રહેલા ટ્રેઇલરના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવતું ડમ્પર ટ્રેઇલરમાં ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પર ચાલક દેવાભાઈને મોઢા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ ડમ્પર માલિક નિર્મલસિંહ જાડેજાએ 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત દેવાભાઈને રામબાગ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ કાર્યવાહી:રાપરના મોડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા 2 જબ્બે
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ડ્રાઈવ અંતર્ગત આડેસર પોલીસે મોટી સફળતા મેળવી છે. રાપર તાલુકાના મોડા ગામની સીમમાં નર્મદાની પેટા કેનાલ પાસે ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે શિકાર કરવા નીકળેલા બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. સેંગલ અને તેમનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મોડા ગામની સીમમાં રહેતા બે શખ્સો નર્મદા કેનાલ તરફ શિકાર કરવા માટે ગયા છે. આ હકીકતના આધારે પોલીસે કેનાલ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં જણાતા બે શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી હથિયાર મળી આવ્યા હતા. પોલીસે રૂ. 10,000ની કિંમતની બે દેશી હાથ બનાવટની બંદૂક કબજે કરી મુળ ચિત્રોડના હાલે મોડા સીમમાં રહેતા સુરેશભાઈ ભીખાભાઈ કોલી અને મળ નાની હમીરપરના હાલે મોડા સીમમાં રહેતા રામજીભાઈ રાઘુભાઈ કોલી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નુકસાની સામે સહાયની માંગ:ભુજ તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી રવિ અને બાગાયતી પાકોમાં ભારે નુક્સાન
તાજેતરમાં ભુજ તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને જોરદાર પવનના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભુજ નાયબ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા માવઠાને કારણે રવિ સીઝનના મુખ્ય પાકો જેવા કે ઘઉં, રાયડો, ધાણા, જીરું, વરિયાળી અને ઈસબગુલમાં ભારે નુકશાન થયું છે. આ ઉપરાંત કપાસ, એરંડા, તુવેર અને વાલ જેવા રોકડિયા પાકોને પણ માઠી અસર પહોંચી છે. ખેડૂતોએ સરકારી પ્રોત્સાહનથી મોટા પાયે બાગાયતી ખેતી અપનાવી હતી, પરંતુ કુદરતી આફતે કેરી, આંબા, દાડમ, પપૈયા અને જામફળ જેવા ફળોના બગીચાઓમાં પાયમાલી સર્જી છે. શાકભાજીની ખેતી કરતા ખેડૂતોના મરચા, ટમેટા, રીંગણા તેમજ તરબૂચ અને શક્કરટેટીના પાક પણ બગડી ગયા છે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ કરશન ગાગલએ જણાવ્યું હતું કે, એક તરફ ખેતીના ઈનપુટ સાધનો, બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચમાં તોતિંગ વધારો થયો છે, તો બીજી તરફ ખેતપેદાશોના પૂરતા ભાવ મળી રહ્યા નથી. આવા કપરા સમયે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે નુકશાની પામેલા પાકોનો સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે, ખેડૂતોને યોગ્ય અને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે, ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે નક્કર નિર્ણય લેવામાં આવે. ભાસ્કર ઇનસાઇડદિવાળી સમયે માવઠાથી નુકશાનીની સહાય માત્ર 86 ગામોને મળ્યોઆ તકે કિસાન ભુજ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ કાનજી ભાઈ ગાગલે ભૂતકાળના અન્યાયને પણ વાગોળ્યો હતો. અગાઉ દિવાળી સમયે થયેલી અતિવૃષ્ટિમાં સમગ્ર કચ્છમાં નુકસાની હોવા છતાં, સરકારે માત્ર અંજાર, ભચાઉ અને રાપરના 86 ગામોના ખેડૂતોને જ સહાય આપી હતી. ભુજ સહિતના અન્ય તાલુકાઓ આ લાભથી વંચિત રહ્યા હતા. આ વખતે આવો ભેદભાવ ન રાખતા, સમગ્ર કચ્છના અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે અને વહેલી તકે વળતર ચૂકવાય તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
કુપોષણ મુક્ત અભિયાન:કચ્છમાં કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો
કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા પોષણ સંગમ સમીક્ષા બેઠક અને વર્કશોપ યોજાયો હતો જેમાં ICDS અને આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઝુંબેશના પગલે કચ્છમાં બાળકોના પોષણ સ્તરમાં સકારાત્મક સુધારો જોવા મળ્યો છે તેમ આ તકે જણાવાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને ICDS શાખા કચ્છ દ્વારા યોજાયેલી બેઠકની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લામાં પોષણ સંગમ અંતર્ગત બે બેચની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય અને ICDS વિભાગ વચ્ચેના સંકલન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જો બંને વિભાગો સાથે મળીને કામ કરશે તો બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં કાયમી સુધારો લાવી શકાશે. તેમણે ઉપસ્થિત અધિકારીઓને પાયાના સ્તરે સઘન કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રોગ્રામ ઓફિસરે વર્તમાન કુપોષણની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આગામી સમયમાં જિલ્લાના બાળકોને કુપોષણમુક્ત કરવા માટે તાલુકા દીઠ લેવા જોઈતા પગલા અંગે વિશેષ જાણકારી રજૂ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ માત્ર બાળકો જ નહીં, પરંતુ સગર્ભા, ધાત્રી માતાઓ અને ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે લેવાવા જોઈતા જરૂરી પગલાંઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ લક્ષ્મી સેગલિયા દ્વારા પોષણ સંગમ પ્રોટોકોલ અંગે તાલીમ આપવામાં આવી હતી. CDHO, RCHO અને PO ICDS તથા કચેરીનો તમામ સ્ટાફ તેમજ તાલુકા કક્ષાએથી THO, CDPO, THV, RBSK મેડિકલ ઓફિસર, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
સહાય:અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ કર્મીના પરિવારને 1.42 કરોડની સહાય
પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન પામેલા પોલીસ હેડ કોન્સ્ટેબલના પરિવારને 1.42 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. સ્વ. મંગેશકુમાર રત્નાભાઈ પ્રજાપતિના પરિવારની વહારે પોલીસ વિભાગ અને બેંક આગળ આવ્યા છે. આજે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મૃતક પોલીસ કર્મીના પરિવારને કુલ રૂ.1 કરોડ42 લાખ63,000ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે સ્વ. મંગેશકુમારના ધર્મપત્નીને એક્સિસ બેંક અકસ્માત વીમાની રૂ.1,00,00,000 (એક કરોડ), દીકરી માટે શૈક્ષણિક સહાય માટે રૂ.16,00,000,જિલ્લા પોલીસ ફાળાની રૂ.12,63,000 અને સરકારી ઉચ્ચક નાણાકીય સહાયમાંથી રૂ.14,00,000 મળી કુલ રૂ.1 કરોડ 42 લાખ 63 હજારનો ચેક અર્પણ કરાયો હતો. પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફરજ દરમિયાન કે અકસ્માતમાં જીવ ગુમાવનાર જવાનના પરિવારને આર્થિક રીતે સુરક્ષિત કરવો એ વિભાગની પ્રાથમિકતા છે. પોલીસ અધિકારીઓ અને એક્સિસ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
અરજદારો થયા પરેશાન:પાલિકામાં લગ્ન નોંધણીમાં 1 મહિનાથી સબ રજીસ્ટ્રાર ન હોવાથી લોકોને ધક્કા
શહેરમાં જન્મ, મરણ અને લગ્ન નોંધણીની કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા સંચાલિત કરવામાં આવે છે, પરંતુ હાલમાં આ કામગીરીની ગતિ ધીમી પડી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરપાલિકામાં ‘જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખા’ કાર્યરત હોવા છતાં, વ્યવસ્થાપનના અભાવને કારણે નાગરિકોને સમયસર સેવા મળતી નથી. જન્મ અને મરણ નોંધણી માટે પોર્ટલ દ્વારા ઓનલાઇન કામગીરી થાય છે, પરંતુ લગ્ન નોંધણી માટે આવેલી અરજીઓમાંથી બહુ ઓછી નોંધ થઈ છે. મળતી માહિતી મુજબ, અગાઉ સબ-રજિસ્ટ્રાર તરીકે સહી કરવાની સત્તા મુખ્ય અધિકારી દ્વારા કાયમી કર્મચારીને સોંપવામાં આવી હતી, પરંતુ ગત મહિને તે કર્મચારી નિવૃત્ત થતાં હવે મુખ્ય અધિકારી સિવાય કોઈને આ સત્તા આપવામાં આવી નથી. પરિણામે તમામ ફાઈલો પર અંતિમ સહી માટે મુખ્ય અધિકારી પર નિર્ભર રહેવું પડે છે. આ દરમિયાન મુખ્ય અધિકારીને વારંવાર રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર ખાતે મીટીંગ માટે જવું પડતું હોવાથી કામગીરી અટકી રહેતી હોવાનું જાણવા મળે છે. નગરપાલિકા સંકુલમાં સંબંધિત શાખામાં કાયમી તેમજ હંગામી સ્ટાફની પૂરતી સંખ્યા હોવા છતાં કામગીરીમાં ગતિનો અભાવ હોવાનું સૂત્રો જણાવે છે. ફરિયાદો અનુસાર, સામાન્ય નાગરિકો તો દૂર, પાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓના કામ પણ સમયસર થતા નથી. વધુમાં, લગ્ન નોંધણી માટે દસ્તાવેજોની ઝેરોક્ષ સેલ્ફ એટેચ કરવાની સરળ પ્રક્રિયાને બદલે નોટરી કરાવવાની ફરજિયાત કરી મૂકાતા લોકોનો સમય અને ખર્ચ બંને વધે છે. આ મામલે વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મુખ્ય અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ રાજકોટ ખાતે મીટીંગમાં હોવાને કારણે સંપર્ક થઈ શક્યો નહોતો. જન્મ, મરણ અને લગ્ન નોંધણી આજના સમયમાં અત્યંત મહત્વના દસ્તાવેજો બની ગયા છે, જે શૈક્ષણિક, કાનૂની અને અન્ય સરકારી પ્રક્રિયાઓ માટે આવશ્યક છે. તેથી નાગરિકોને સમયસર સેવા મળે તે માટે કામગીરીમાં ઝડપ લાવવા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા તંત્રે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યું છે.
ઠગાઇ:ધંધાના બહાને બેંક ખાતું ભાડે આપી 25.50 લાખની ઠગાઇ
માધાપરમાં રહેતા યુવાન સાથે વિશ્વાસઘાત કરી તેના નામે ખોલાવેલું બેંક એકાઉન્ટ સાયબર ગુનેગારોને ભાડે આપીને 25.50 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવની વિગતો મુજબ, મૂળ જવાહર નગરના અને હાલ માધાપરમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ ગોપાલભાઈ મેરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મૂળ જવાહર નગરના હાલે ભુજના રહેવાસી રામજી માવજી મેરીયાએ પ્રવીણભાઈને વિશ્વાસમાં લઈ તેને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય માટે બેંક એકાઉન્ટની જરૂરિયાત હોવાનુ કહેતા સ્ટેશન રોડ પર આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં ખાતું ખોલાવી વિગતો આપી હતી. જોકે, આરોપી રામજી મેરીયાએ વાવ-થરાદના મોહિત નાગરલાલ પુરોહિત નામના શખ્સને 20 હજારના ભાડા પેટે એકાઉન્ટ સોંપી દીધું અને આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડની રકમની હેરાફેરી માટે કરાયો હતો. ઓક્ટોબર 2024થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન વિવિધ સાયબર છેતરપિંડીના ગુનાઓ દ્વારા આ બેંક ખાતામાં કુલ 25.50 લાખ રૂપિયા જેટલી રકમ જમા કરાવાઈ હતી. જ્યારે આ ટ્રાન્ઝેક્શન બાબતે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ અને રકમ હોલ્ડ પર મુકાઈ ત્યારે ફરિયાદીને પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતની જાણ થઈ હતી.માધાપર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ભુજની અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગ દ્વારા વેરિકોઝ વેઇન્સ એટલે કે પગમાં સુજેલી ભૂરા રંગની નસો અને વસ્કુલર ડિસીઝ અર્થાત્ નસોમાં રક્ત સંચારના રોગો તેમજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ઉપર સર્જન્સની કાર્ય પ્રણાલી વધુ પ્રભાવશાળી બને એ માટે વ્યાખ્યાન માળા યોજાઈ હતી. આણંદ ખાતેના રાજ્યસ્તરના વેરિકોઝ વેઇન્સ રોગોના નિષ્ણાત અને સર્જન ડો.જયેશ પટેલે આ રોગનું લેસર ઓપરેશન કરી જીવંત નિદર્શન કરી માર્ગદર્શન કર્યું હતું અને ભુજની કે.કે.પટેલ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડો.તેજેન્દ્રપ્રસાદ રામાણીએ રેડિયો ઇમેજ દ્વારા સચોટ નિદાન અને ઉપચાર ઉપર ઉપયોગી માહિતી આપી હતી. ડૉ.પટેલે શસ્ત્રક્રિયાનું નિદર્શન કરતાં કહ્યું કે, વેરિકોઝ વેઈન્સમાં લેસર પધ્ધતિથી કરાતા ઓપરેશનથી આ પ્રકારની ગંભીર અને મોટી સર્જરી ઝડપી અને અસરકારક બને છે. તેમણે ઉમેર્યું કે, સામાન્ય દેખાતી વેરિકોઝ વેઈન્સ એક ગંભીર સમસ્યા છે. પગની મોટી નસમાં બ્લોકેટ થાય તો તે બ્લડ કલોટ તૂટીને શરીરના અન્ય ભાગોમાં પ્રસરી શકે છે અને તેમાંય જો ફેફસા અને મગજની નસોમાં પહોંચે તો જીવલેણ સાબિત થઈ શકે છે. હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગના વડા ડો.રાજેશ ગોરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વ્યાખ્યાન પ્રસંગે રેસિડેન્ટ્સ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. વેરીકોઝ વેઇન્સના લક્ષણોવેરીકોઝ વેઇન્સમાં પગની ત્વચા નીચે સૂજેલી આડી અવળી અનેક ભૂરા રંગની નસો ઉપસી આવતી હોય છે, જે ખરાબ રક્ત સંચાર અને કમજોર વાલ્વને કારણે થાય છે. આ રોગના લક્ષણોમાં પગની નસો ફૂલી જાય, દુખાવો થાય અને ભારેપણું લાગે છે. ત્વચામાં ફેરફાર પણ થાય છે.લાંબા સમય સુધી ઊભા રહેવાથી, સ્થૂળતા અને ધૂમ્રપાનને કારણે આ સમસ્યા થાય છે.
ભગવાન રામનું જીવન સૌના માટે એક આદર્શ છે, પરંતુ તેમની જન્મ કુંડળીનો ઊંડો અભ્યાસ જ્યોતિષીઓ માટે પણ સંશોધનનો વિષય છે. ભગવાન રામની કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના હોતાં પ્રજાવત્સલ રાજા બન્યા તેમ તાજેતરમાં ભુજ ખાતે યોજાયેલી કચ્છ જ્યોતિષ મંડળની બેઠકમાં જણાવાયું હતું. મુખ્ય વક્તા આનંદ શાહે ભગવાન રામની કુંડળીનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, કર્ક લગ્નની આ કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના કે સ્વગૃહી છે. આ ગ્રહોની વિવિધ ભાવોમાં ઉપસ્થિતિને કારણે તેઓ પ્રજાવત્સલ રાજા, આદર્શ પુત્ર અને વચનપાલક બન્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ચોથા સુખ સ્થાનમાં શનિની હાજરી, વ્યયેશ બુધની દ્રષ્ટિ અને સાતમે મંગળની ઉપસ્થિતિને કારણે જ તેમને રાજત્યાગ, વનવાસ, સીતા હરણ અને અયોધ્યા પરત આવ્યા બાદ પણ પત્ની-સંતાન વિયોગ જેવી ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો, જે કુંડળીના યોગો સાથે સંપૂર્ણ સુસંગત જણાય છે. ચર્ચાને આગળ વધારતા નરેન્દ્ર ગોર ‘સાગર’’’’ એ શ્રી રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રના ચોથા ચરણમાં થયો હોવાનું જણાવી તેના આધારે દશા, અંતર્દશા અને ગ્રહોના ગોચર ના સમયની ગણતરી કરતા તે પ્રભુના જીવનની ટાઈમલાઈન સાથે કેટલી સચોટ રીતે મળે છે તેનું તાર્કિક વિશ્લેષણ રજૂ કર્યું હતું. મંડળના પ્રમુખ પ્રીતિબેન રાજગોર તથા ઉપપ્રમુખ પ્રફુલ જોશીએ કહ્યું હતું કે રામજીનું જીવન અભ્યાસુઓ માટે જ્ઞાનનો ભંડાર છે. સલાહકાર ગીરીશગોરે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે કચ્છ જ્યોતિષ મંડળ ભવિષ્યમાં પણ જ્યોતિષીઓને સંશોધન માટે આવું પ્લેટફોર્મ પૂરું પાડતું રહેશે. બેઠકના પ્રારંભમાં રામેશ્વર મંદિરના આશિષ જોશીએ સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે સંચાલન મંત્રી અશોક માંડલિયાએ કર્યું હતું. પ્રશ્નોત્તરીમાં સુભાષભાઈ જોશી, લીના ઠક્કર, ઝંખના શર્મા અને વનીતાબેન મહિડાએ ભાગ લીધો હતો. વ્યવસ્થા રાજેશભાઇ અને અરવિંદભાઈએ સંભાળી હતી. આ બેઠકમાં ધીરેન્દ્ર રઘુવંશી, સ્મિત રાજગોર, પ્રવીણભાઈ વરસાણી, પૂજા ભાટિયા, પરેશ જોશી, પ્રશાંત ભોજક, મીનલ દવે, હેમાલી ઓઝા, હંસાબેન પંડ્યા, નિધિ કુબડીયા, હિતેન્દ્ર દવે, દેવાંગ ચૌહાણ, દિપા જોશી, સુભાંગી જોશી, વિપુલા મહેતા અને જયેશ જોશી સહિત મોટી સંખ્યામાં જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દહિંસરામાં ગૌવંશની હત્યાનો પર્દાફાશ:માનકુવા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા
તાલુકાના દહીંસરા ગામે ગૌવંશની હત્યાનો પર્દાફાશ કરી માનકુવા પોલીસે 85 અબોલ જીવોને મુક્ત કરાવ્યા છે. માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.ગઢવીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે સઘન તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન બાતમીને આધારે દહિસરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા એક વાડામાં ત્રાટકીને ગૌવંશની હત્યાના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ગૌવંશની હત્યા માટે વપરાયેલી છરી જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કતલ કરેલ એક નર વાછરડું કબ્જે કરવામાં આવ્યું હતું અન્ય 85 જેટલા ગૌવંશને બચાવી લેવાયા હતા. પોલીસે આ કૃત્યમાં સંડોવાયેલા બે આરોપીઓ ગામના મુસ્તાક જુસબ રાયમા અને ઈસ્માઈલ જુસબ રાયમાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, સ્થળ પરથી જીવતા મળી આવેલા 85 ગૌવંશને તાત્કાલિક અસરથી વાડાસર સ્થિત ભક્તિ ગૌરક્ષણ સેવા સમિતિ ખાતે સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવ્યા છે. આ કામગીરીમાં માનકુવા પીએસઆઈ એ.એન. ધાસુરા, એએસઆઈ બ્રિજેશભાઈ યાદવ, ઉપેન્દ્રસિંહ રાણા, જીગ્નેશભાઈ અસારી, જયંતિભાઈ મહેશ્વરી અને અજયભાઈ ઝણકાત સહિત હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી, જયપાલસિંહ જાડેજા, વિનોદભાઈ ઠાકોર, કિરણકુમાર પુરોહિત, મહેશભાઈ વાળા, સુરેશભાઈ જોશી તથા જીઆરડી સભ્યો જગમાલ હિંગાણા અને રણજીતસિંહ જાડેજા જોડાયા હતા.
કિશોર પાણીમાં ગરક થયો:જીપીએસના ધો.11ના છાત્રનો પગ લપસતાં સેવાસી કેનાલમાં તણાયો
શહેરના સેવાસી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં વહેલી સવારે એક કિશોરનો પગ લપસી જતાં તણાયો હતો. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ઢળતી સાંજ સુધી તેની શોધખોળ લાશ્કરોએ કરી હતી પણ તેની ભાળ મળી ન હતી. બનાવની વિગત એવી છે કે, અટલાદરાની જીપીએસ સ્કૂલના ધો.11 (સીબીએસઇ)માં ભણતો હર્ષવર્ધન ક્ષેત્રિય વડસર સ્થિત પોતાના ઘરેથી સવારે એક્ટિવા લઇને નીકળ્યો હતો. રસ્તામાં તેણે આ જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ઓમ દુબેને પોતાની સાથે એક્ટિવા પર બેસાડ્યો હતો. તેઓ સવારે સેવાસી કેનાલ પાસે ગયા હતા અને ત્યાં વડાપાઉનો નાસ્તો કર્યો હતો. ત્યારબાદ મોં-ધોવા તે નજીકથી પસાર થતી કેનાલમા ઢાળવાળી જગ્યાએથી નીચે ઉતર્યો હતો. દરમિયાન તેનો પગ લપસતા તે સીધો જ નહેરના પાણીમાં ખાબક્યો હતો. તેની સાથેના ઓમે આ દૃશ્ય જોતા જ હેબતાઇ ગયો હતો. દરમિયાન તેણે પોતાના માતા-પિતાને જાણ કરી હતી. તેના વાલીઓએ તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે લપસ્યા બાદ હર્ષવર્ધન પાણીમાં ગરક થઇ ગયો હતો. ફાયરબ્રિગેડના લાશ્કરોએ બોટ લાવીને તેની શોધખોળ હાથ ધરી હતી પણ રાત સુધી તેની કોઇ ભાળ મળી ન હતી. આ અંગે પોલીસે તેના મિત્ર ઓમની બનાવ અંગે પૂછપરછ કરીને બનાવની વધુ તપાસ હાથ ધરી છે. હર્ષવર્ધન ફૂટબોલનો ઉમદા ખેલાડી છેહર્ષવર્ધન ક્ષેત્રિય ફૂટબોલનો ઉમદા પ્લેયર છે. તેણે ફૂટબોલની ક્લસ્ટર ટુર્નામેન્ટમાં પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તેની ભાળ ન મળતાં તેના મિત્રો પણ નિરાશ થયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં શહેર વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં એક યા બીજા કારણોસર 5 વ્યક્તિઓ તણાયા છે. અંબાલા ગામે નર્મદા કેનાલમાં તણાયેલા યુવકનો મૃતદેહ મળ્યોમગળવારે શિનોરના અંબાલા ગામે નર્મદા કેનાલમાં કૃષ્ણપાલસિંહ પરમાર નામનો એક યુવક તણાઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડની ઇઆરસી (ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર)ની ટીમ તેની ભાળ મેળવવા માટે રવાના થઇ હતી. જોકે ગુરુવારે બપોરે એક વાગ્યાના સુમારે નહેરમાંથી કૃષ્ણપાલસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગેસ સિલિન્ડરની કાળાબજારી ઝડપાઈ:4 હજારમાં ગેસનો સિલિન્ડર વેચતા શખ્સની ધરપકડ કરાઇ
ગેસ સિલિન્ડરની કાળાબજારી કરનારની માંજલપુર પોલીસે વડસર જીઆઈડીસી રોડ પરથી મંગળવારે રાત્રે ધરપકડ કરી છે. ચેતન ઈનાની રૂા.3500નો સિલિન્ડર રૂા.4 હજારમાં વેચતો હતો. પોલીસના પેટ્રોલીંગ દરમિયાન વડસર જીઆઈડીસી પાણીની ટાંકી પાસે રાતે 8:20 કલાકે બે વ્યક્તિ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાથે ઉભા હતાં. ચેતન સુંદરલાલ ઈનાની (ઉ.વ.48,રહે-પુજા ટેનામેન્ટ, દરબાર ચોકડી પાસે, માંજલપુર) દ્વારા સીલપેક સિલિન્ડર બીજા વ્યક્તિ ભાનુભાઈ ધામુભાઈ ચુનારા (ઉ.વ.34, રહે-હિમાલયા કંપનીની સામે ઝુપડામાં, મકરપુરા)ને રૂા.4 હજારમાં વેચતો હતો. પોલીસે રૂા.4 હજાર કબજે કર્યાં હતાં. સિલિન્ડર પર રૂા.3500ની કિંમત હતી. છાપેલી કિંમતથી વધુ ભાવે વેચાણ કરવા સામે ચેતન ઈનાની વિરૂધ્ધ એસેન્સીયલ કોમોડીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ઈરાન-અમેરિકા યુધ્ધના કારણે શહેરમાં કોમર્શીયલ અને ઘરેલું એલપીજી ગેસની અછત સર્જાઈ છે. આ સમસ્યાં વચ્ચે એલપીજી સિલિન્ડરનો કાળાબજાર કરનારા લોકો સામે વહિવટી તંત્ર અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હજારો માછલીના શંકાસ્પદ મોત:દંતેશ્વર તળાવમાં હજારો માછલીના મોત,દુર્ગંધને પગલે લોકો ત્રાહિમામ
સુરસાગર બાદ હવે દંતેશ્વર તળાવમાં હજારો માછલીઓના અચાનક મોતથી આશ્ચર્ય ફેલાયું છે. પાલિકાને અસહ્ય દુર્ગંધની ફરિયાદ મળતા તળાવની સફાઈ હાથ ધરી છે. જેમાં 2 ટ્રક ભરીને માછલીઓ કાઢવામાં આવી છે. સુરસાગરમાં માછલીઓ મોત બાદ ઓટો એરેશન સિસ્ટમ નાખવામાં આવી છે. તેના કારણે માછલીઓના મૃત્યુ ઘટ્યા છે. તેવામાં દંતેશ્વર તળાવમાં એકાએક હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ભારે દુર્ગંધના કારણે આસપાસના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે પૂર્વ ઉન્સિલર પ્રીતિબેન ભટ્ટને આ અંગેની ફરિયાદ મળતા તેઓએ સ્થળ વિઝિટ કરી અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. જેના પગલે તાત્કાલિક ધોરણે તળાવની સફાઈ શરૂ કરાઈ હતી. જાણકારોના મતે ઓક્સિજન લેવલ ઓછું થવાથી માછલીઓના મૃત્યુ થાય છે. જોકે પાલિકાએ માછલીઓના મોત થવા પાછળનું કારણ શોધવું જોઈએ.
બાદશાહે ગર્લફ્રેન્ડ ઈશા રિખા સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધાં
ઈશાની માતાએ તસવીરો શેર કરી બાદશાહ છ વર્ષ પહેલાં છૂટાછેડા લઈ ચૂક્યોછેઃ ઈશા તેના કરતાં આઠ વર્ષ નાની મુંબઈ - સિંગર બાદશાહે પંજાબી અભિનેત્રી ઇશા રિખી સાથે છાનામાન લગ્ન કરી લીધા હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોથી મનાઈ રહ્યું છે. યુગલે પોતાના લગ્ન વિશે કોઇ માહિતી આપી નથી. પરંતુ બાદશાહની સાસુએ બાદશાહ અને ઇશાના લગ્નની ૧૦ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
નમસ્તે, કાલના મોટા સમાચાર કેન્દ્રના નિવેદન સાથે જોડાયેલા રહ્યા. સરકારે કહ્યું કે દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત નથી. બીજી મોટા સમાચાર ધુરંધર 2ના રેકોર્ડ તોડવાને લઈને રહ્યા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. 2. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રામ નવમીના અવસરે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું-અમેરિકી એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર મિસાઈલ હુમલો કર્યો:USS વિસ્તાર છોડીને ભાગ્યું, રેન્જમાં આવશે તો વધુ શક્તિશાળી હુમલા કરીશું ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન પર મિસાઈલ હુમલો કર્યો છે, જેના પછી તેને તે વિસ્તાર છોડીને પોતાની પોઝિશન (સ્થિતિ) બદલવી પડી હતી. ઈરાની સેનાના જણાવ્યા અનુસાર, નૌકાદળે 'કાદેર' ક્રૂઝ મિસાઈલોથી આ કેરિયરને નિશાન બનાવ્યું હતું. આ હુમલા બાદ અમેરિકી નૌકા કાફલાને પોતાની સ્થિતિ બદલવાની ફરજ પડી હતી. ઈરાની નૌકાદળના પ્રમુખ શહરામ ઈરાનીએ જણાવ્યું હતું કે, અમેરિકી કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે જેવો આ કાફલો મિસાઈલ રેન્જમાં આવશે, તેના પર વધુ શક્તિશાળી હુમલા કરવામાં આવશે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત નથી:ભાવમાં પણ કોઈ વધારો થયો નથી, ગભરાઈને જરૂરિયાત કરતાં વધુ ખરીદવાનું ટાળો કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે અમારી પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. દેશમાં કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. પેટ્રોલ પંપોને સપ્લાય કરતા ટર્મિનલો પર પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દિલ્હીમાં આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ લોકોને ડર અને ગભરાટમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી કરવાનું ટાળવા અપીલ કરી હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કોલકાતા રેપ-મર્ડર કેસની પીડિતાની માતા ભાજપના ઉમેદવાર:મમતાએ કહ્યું- ભાજપની રાજ્યને બિહારમાં ભેળવવાની યોજના; હિમંતા બોલ્યા- વિપક્ષ પાસે એજન્ડા નથી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, જેમાં 19 નામોનો સમાવેશ થાય છે. આ યાદીમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ રેપ-મર્ડર કેસની પીડિતાની માતાને પાનીહાટી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા પ્રથમ યાદીમાં 144 અને બીજી યાદીમાં 111 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૈનાગુડીમાં એક રેલી દરમિયાન ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપ બંગાળને ખતમ કરવા માંગે છે અને રાજ્યને બિહારમાં ભેળવવાની યોજના બનાવી રહ્યું છે. મમતાએ દાવો કર્યો કે તેમણે ઉત્તર બંગાળના વિભાજનના પ્રયાસને રોકી દીધો છે અને આ મુદ્દે પહેલાથી જ અવાજ ઉઠાવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સુપ્રીમ કોર્ટે કહ્યું- જાહેર કાર્યક્રમોમાં વંદેમાતરમ ફરજિયાત નથી:જ્યારે આ માટે સજા થવા લાગશે, ત્યારે વિચાર કરીશું; અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે બુધવારે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ગાવા અંગે ગૃહ મંત્રાલયના પરિપત્ર વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે સાર્વજનિક સ્થળો અને જાહેર કાર્યક્રમો માટે જાહેર કરાયેલ આ નિર્દેશ ફરજિયાત નથી. પરિપત્રને પડકારતી અરજી સમય પહેલા દાખલ કરવામાં આવી છે. આ મામલો CJI જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચ સમક્ષ હતો. બેન્ચે કહ્યું કે ગૃહ મંત્રાલયની એડવાઇઝરીમાં ‘વંદે માતરમ’ ન ગાવા પર કોઈપણ પ્રકારની સજાની જોગવાઈ નથી. બેન્ચે કહ્યું- આ દિશા નિર્દેશો ફક્ત એક પ્રોટોકોલ છે અને તેનું પાલન કરવું ફરજિયાત નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'ધુરંધર 2'એ 6 દિવસમાં વિશ્વભરમાંથી ₹919 કરોડ કમાયા:સૌથી ઝડપી ₹900 કરોડ કમાવવાના મામલે 'પુષ્પા 2'ની બરાબરી કરી; રણબીર-આમિરના રેકોર્ડ તોડ્યા રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' એટલે કે ‘ધુરંધર 2’એ બોક્સ ઓફિસ પર રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે મંગળવારે ભારતમાં 56.55 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં 919 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે સૌથી ઝડપી 900 કરોડ રૂપિયા કમાવવાના મામલે ‘પુષ્પા 2’ ની બરાબરી કરી લીધી છે. બંને ફિલ્મોએ 6 દિવસમાં આ આંકડો પાર કર્યો. જોકે, કુલ કમાણીના મામલે ‘પુષ્પા 2’ આગળ છે, જેણે 6 દિવસમાં 951.32 કરોડ રૂપિયા કમાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના, 19 સભ્યોનો સમાવેશ:CMથી લઈ પૂર્વ મંત્રીઓનો સમાવેશ,પાટીલ સહિત ચાર પૂર્વ પ્રદેશ પ્રમુખને સ્થાન; જુઓ સંપૂર્ણ લિસ્ટ ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ભાજપ ગુજરાત દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની નવી રચના જાહેર કરવામાં આવી છે, જેમાં રાજ્યના ટોચના નેતાઓ અને અનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નવી સમિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગત્યના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ અને સંગઠનના અનુભવી કાર્યકરોને પણ મહત્વ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપ ચૂંટણી પહેલા સંગઠનને એકજૂટ અને સશક્ત બનાવવા પર ભાર મૂકી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદના જુહાપુરામાં 5 જંગલેશ્વર જેટલું દબાણ છે:અમિત ઠાકર:અશાંતધારાની મિલકતના રક્ષણ માટે કલેક્ટરને 'સુઓ મોટો'ની સત્તા, વાંધાજનક કિસ્સામાં કબજો પણ લઈ શકશે ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન ભારે ગરમાગરમી જોવા મળી હતી, જેમાં ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન અને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અમિત ઠાકરે AMCના લેખિત જવાબને ટાંકીને કહ્યું હતું કે, અમદાવાદના જુહાપુરામાં 5 જંગલેશ્વર જેટલું દબાણ છે . અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.જેમાં અશાંતધારાની મિલકતના રક્ષણ માટે કલેક્ટરને 'સુઓ મોટો'ની સત્તા અપાઈ છે અને વાંધાજનક કિસ્સામાં કબજો પણ લઈ શકશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : એસ. જયશંકરે કહ્યું- ભારત પાકિસ્તાન જેવો દલાલ દેશ નથી:સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે કહ્યું હતું- ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું છે, ભારત મૂકપ્રેક્ષક બન્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવું મુશ્કેલ કેમ?:ઈરાન સાંકડા રસ્તાનો ફાયદો ઉઠાવે છે, સમુદ્રમાં પાથરેલા બોમ્બના કારણે અમેરિકી શિપ પર જોખમ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : શંકરાચાર્યને બાળકોના યૌન શોષણ કેસમાં જામીન:હાઈકોર્ટે કહ્યું- ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી ધરપકડ નહીં; અવિમુક્તેશ્વરાનંદને ઇન્ટરવ્યુ આપવાની મનાઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.નેશનલ : 6 વ્યક્તિઓમાં જીવંત રહેશે હરીશ રાણા:13 વર્ષથી કોમામાં રહેલા હરીશનું અંગદાન; ભાઈએ મુખાગ્નિ આપી, પિતાએ બીજાને રડવાની ના પાડી ને પોતે રડી પડ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઘરની નજીક ગેસની લાઈન હશે તો કનેક્શન લેવું જ પડશે:કંપની 3 મહિનાની નોટિસ આપશે, જો કનેક્શન નહીં લો તો ગેસ સિલિન્ડર મળવાનું પણ બંધ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLના ઈતિહાસની સૌથી મોટી સીઝન!:આ વખતે 84 મેચનો થશે 'મહાવિસ્ફોટ', દરેક ટીમ 16 મેચ રમશે; 28 માર્ચથી શરૂ થશે ચોગ્ગા-છગ્ગાની રમઝટ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : રામનવમીની તારીખને લઈને પંચાંગ ભેદ:તિથિઓની વધઘટને કારણે બે દિવસ ઉજવાશે રામ જન્મોત્સવ; જાણો સંપૂર્ણ પૂજા-વિધિ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ખરાબ એન્જિન ઓઈલથી ચાલતો ચૂલો બનાવ્યો ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં LPGની અછત વચ્ચે બે મિકેનિક, શિવ પ્રતાપ અને શિવમે ખરાબ એન્જિન ઓઈલથી ચાલતો ચૂલો બનાવ્યો છે. આ ચૂલો 1 કલાકમાં માત્ર 100 ml ઓઈલમાં ચાલે છે. તેમને નાની રેસ્ટોરન્ટ્સ તરફથી ઓર્ડર પણ મળવા લાગ્યા છે. જોકે, નિષ્ણાતો તેને સ્વાસ્થ્ય માટે ખતરનાક ગણાવી રહ્યા છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામના ગુંડાઓનો આતંક: મહિલા પત્રકારને લોખંડની પાઇપો મારી, શીખ પત્રકાર પર તેલ રેડીને આગ ચાંપી; જુઓ સિરીઝનો નવો એપિસોડ 2. આજનું એક્સપ્લેનર: એક તરફ વાતચીતનું આમંત્રણ, બીજી તરફ 2000 પેરાટ્રૂપર્સ મોકલ્યા; શું ઈરાનને ફસાવીને મોટા હુમલાની તૈયારીમાં ટ્રમ્પ 3. હસમુખ અને ધર્મેશની નજર એકબીજાની પ્રેમિકા પર હતી: જમવાનું આમંત્રણ કાળ બન્યું, સાથે બેસીને નોનવેજ ખાધું પછી એ જ ધાબા પર ખેલાયો લોહિયાળ ખેલ 4. પારકી પંચાત : વકીલ ચપટી વગાડીને બોલ્યા, ‘એય…વગાડો’: ‘ઓ ડિસ્ટ્રીક્ટ જજ, તમારે અહીં ના અવાય’; પેટ્રોલ પંપમાં ઈરાન-ઈઝરાયલની જેમ લડ્યા! 5. Editor's View: મુનીર માથે મધ્યસ્થીનો મુગટ: અમેરિકાથી ઑર્ડર છૂટ્યો! યુદ્ધ રોકવા પાકિસ્તાનનો કૂદકો, શરતો પર ઈરાનનો લાલ લીટો; ભારતનું ટેન્શન વધશે? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રામનવમીનું રાશિફળ: ભગવાન રામની કૃપાથી સિંહ-ધન રાશિની મુશ્કેલીઓનો અંત આવશે, વૃષભ-મકર રાશિના લોકોને મળશે સફળતા વાંચો સંપૂર્ણ રાશિફળ
ઝળહળતી સિદ્ધિ:સંત કબીર સ્કૂલના સેન્સર્સ અને AIથી અડચણો પાર કરતા રોબો-એથ્લિટને 5 લાખનું ઇનામ
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજકોસ્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રોબોફેસ્ટ 5.0 સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા જુનિયર તેમજ સિનિયર કેટેગરી માટે હતી. જેમાં સંત.કબીર સ્કૂલની બે ટીમે જુનિયર કેટેગરી ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જ્યાં રોબો-એથ્લિટ અને મેઝ સોલ્વિંગ રોબોટ બનાવવાના હતા. રોબો-એથ્લિટ ટીમમાં ધો.9ના જૈનિલ સુતરસંધિયા, ધ્રુમિત શાહ, સમર્થ વ્યાસ, ધો.11 સાયન્સના ચાર્મી શાહ અને માર્ગદર્શક ડૉ. બીના બેડેકરનો સમાવેશ થતો હતો. જ્યારે મેઝ સોલ્વિંગ રોબોટમાં ધો.11 સાયન્સના પુષ્કર પટેલ, શ્લોક ચૌહાણ, વેદાંત પરમાર, પ્રિશા હાથીએ ભાગ લીધો હતો. બંને ટીમે સ્પર્ધાના પહેલા અને બીજા રાઉન્ડમાં જીત મેળવી હતી અને તેમને 25 હજાર અને 1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ રોબોટ્સની નવીન ડિઝાઇન પહેલાથી જ ડિઝાઇન પેટન્ટિંગની પ્રક્રિયામાં છે. વિદ્યાર્થીઓમાં કૌશલ્ય અને ટીમ ભાવના કેળવાઇસ્પર્ધાનો અંતિમ રાઉન્ડ અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયો હતો. સંત.કબીર સ્કૂલની રોબો-એથ્લિટ ટીમે તેમની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા તેમને 5 લાખના રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુલાઈ 25 થી આજ સુધીની આ વિદ્યાર્થીઓની રોબોફેસ્ટ સફર તેમને માત્ર જીવન કૌશલ્ય જ નહીં પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પોતાને કેવી રીતે પ્રેરિત અને સકારાત્મક રાખવા તે પણ શીખવી છે. ઇન્ડસ્ટ્રીમાં સામાનને શીફ્ટ કરવા માટે રોબોટ એથ્લિટ ઉપયોગ કરી શકાયરોબો એથલીટ લાઇન ફોલોઇંગ રોબોટ છે. જે બોલ અથવા ડિસ્કને ઓળખવાની અને તેમને નિર્ધારિત ગોલ પોસ્ટમાં ધકેલવાની ક્ષમતા ધરાવે છે. તે વચ્ચે આવતા અવરોધોને પણ દૂર કરી શકે છે. સ્પોર્ટ્સ અને ગેમિંગ ટેકનોલોજીમાં ઓટોમેટેડ ગેમ્સ અથવા બોલ ટ્રેકિંગ અને ગોલ કરાવવા આ રોબોટનો ઉપયોગ કરી શકાય છે. ઇન્ડસ્ટ્રીયલ જગ્યાઓમાં વસ્તુઓને શિફ્ટ કરવા માટે રોબોટ એથ્લિટ ઉપયોગ કરી શકાય છે.
આજવા નિમેટા રોડ ખાતે આરએમએસ કેમ્પસ ખાતે પ્રોજેક્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મિકેનિકલ, કેમિકલ, સિવિલ, આર્કિટેક્ચર, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર આઇટી અને નર્સિંગ સહિત વિવિધ શાખાના 300 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા અને તકનિકી કુશળતા દર્શાવી, જે તેમના જ્ઞાન અને પ્રતિભાનું પ્રતિબિંબ હતું. ડિપ્લોમા કમ્પ્યુટર આઇટીના વિદ્યાર્થીઓ દ્વારા કોર ક્રાફ્ટ, લાઇફ સિંક જેવી 20થી વધારે એઆઇ બેઝ્ડ એપ્લિકેશન્સ અને રોબોટિક સિસ્ટમ્સ રજૂ કરવામાં આવી હતી. ડિપ્લોમા મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થીઓએ મેગ્નેટ્સ અને સેન્સર્સના ઉપયોગથી ઉર્જાસંરક્ષણ માટે પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. જ્યારે નર્સિંગના વિદ્યાર્થીઓએ હેલ્થ કેરને એઆઇ સાથે જોડતા મોડેલ્સ રજૂ કર્યા હતા.
રામ નવમી પહેલા સિટીમાં ભક્તિ, ધીરજ અને કલાનું અનોખું સંકલન જોવા મળ્યું છે. મકરપુરાના ખાનગી કાર સ્પા ખાતે આધ્યાત્મિક મોઝેક પોર્ટ્રેટ સર્જીને વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. આ વિશે આર્ટિસ્ટ રાહુલ કુમાવતે જણાવ્યું હતું કે, મારી સાથે સંજય કુમાવત અને નેન્સી પરમારે મળી મર્સિડિઝ કાર પર 51,008 વાર ‘રામ રામ’ને લખીને શ્રી રામ અને ભગવાન હનુમાનજીનું 14થી 15 ફૂટનું પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. જેને બનાવતા અમને 4 દિવસનો સમય લાગ્યો હતો. દરેક ‘રામ’ નામ આધ્યાત્મિક્તાને કલા સાથે જોડે છે. જેને ઇન્જીનિયસ ચાર્મ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જે આજે રામનવમીના અવસરે આ કૃતિ બરોડિયન્સ માટે મકરપુરા અકશર કાર સ્પા ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.
STને કેશલેસ વહેવાર ફળ્યો:એસટીની મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટથી દૈનિક આવક 3 લાખને પાર
એસટીમાં સફર કરતા મુસાફરો કેશલેસ વહેવાર કરે તે માટે બે મહિના અગાઉ 450 કન્ડક્ટર્સને ઓટોમેટેડ ટિકિટિંગ મશીનો આપવામાં આવ્યાં હતા. માર્ચ મહિનામાં પહેલીવાર વડોદરા એસટી ડિવિઝનમાં કેશલેસ વહેવારનો આંક 3 લાખને વટાવ્યો છે. જેમાં સૌથી વધુ આવક વડોદરા ડેપોએ કરી છે. રેલવેની જેમ એસટીને પણ કેશલેસ વહેવારને પ્રોત્સાહિત કરવા માટે કહેવાયું છે. આ વિશે વાત કરતા વડોદરાના ડિવિઝનલ મેનેજર જેએન પટેલે જણાવ્યું કે, આ કુલ આવકના 10 ટકા જેટલી છે પણ લોકો ઝડપથી કેશલેસ વહેવાર એસટીમાં કરી રહ્યાં છે. વડોદરા પછીના ક્રમે સૌથી વધુ કેશલેસ વહેવાર ડભોઇ અને પાદરા ડેપો દ્વારા નોંધાઇ રહ્યો છે. વડોદરા ડિવિઝનમાં વડોદરા ઉપરાંત બોડેલી, છોટાઉદેપુર, ડભોઇ, કરજણ. પાદરા, વાઘોડિયા અને સાવલી ડેપોનો સમાવેશ થાય છે. જે વિસ્તારમાં શહેરીકરણ વધુ છે ત્યાં એસટીમાં ડિજિટલ આવક વધુ છે. બીજી તરફ વાઘોડિયા જેવા વિસ્તારોમાં પણ લોકો હજીય એસટી સિવાયની વૈકલ્પિક વ્યવસ્થામાં સફર કરતા હોવાથી ત્યાં પણ ડિજિટલ કલેકશનથી આવક ઓછી નોંધાઇ રહી છે. ડેપો વાઈઝ આવકની વિગતો (આ આવક 19મી માર્ચ, 2025ની છે. સ્રોત- વડોદરા એસટી ડિવિઝન)
આજે અષ્ટમી:માઈ મંદિરોમાં હવન, ચંડિયાગ, નવાર્ણ મંત્રના જાપ કરાશે
આજે દુર્ગાષ્ટમી સાથે રામનવમી પણ ઉજવાશે. સવારે 11.51 વાગ્યા સુધી અષ્ટમી છે ત્યારબાદ નોમ બેસે છે જે 27 માર્ચના રોજ સવારે 10.09 મિનિટ સુધી છે. તિથિ ઘડી અને પળના સંયોગને કારણે આજે અષ્ટમી અને રામ નવમી એક દિવસે ઊજવાશે. આજે દુર્ગાષ્ટમીએ માઈ મંદિરોમાં હવન, પૂજન, ચંડિયાગ અને નવાર્ણ મંત્રના જાપ, માતાજીના અભિષેક, શણગાર અને નૈવેદ્ય કરવામાં આવશે. કારેલીબાગમાં આવેલા બહુચરાજી મંદિર, માંડવી અંબામાતા મંદિર, બેંક રોડ પર આવેલા મહાલક્ષ્મીજીના મંદિરોમાં આજના દિવસે વિવિધ પૂજન અર્ચન યોજાશે. નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરી માતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. મહાગૌરી માતાના પૂજનથી સૌભાગ્યની પ્રાપ્તિ સાથે સુખ-શાંતિ, માન-પ્રતિષ્ઠા અને આનંદની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને માતાજીને ખીર અને સફરજનનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. આઠમના દિવસે માતાજીના હવન પૂજનનો વિશેષ મહિમા છે. આજના દિવસને હવનાષ્ટમી કહેવાય છે. હવનાષ્ટમીના દિવસે હવન કરવાથી ઘરની અનિષ્ટતાનો નાશ થાય છે. 108 નવાર્ણ મંત્રની એક માળાનો હોમ વિદ્વાન બ્રહ્મનો પાસ કરાવવો જોઈએ.
બાઈક રેલીનું આયોજન કરાયું:ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવે 240 યુવક-યુવતીઓની બાઈક રેલી યોજાઈ
બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્યોત્સવની ઉજવણીના ભાગરૂપે બુધવારે બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 120 બાઈક પર યુવકો અને 120 મોપેડ પર યુવતીઓ રેલીમાં જોડાઈ હતી. રેલીની શરૂઆત છાણીથી કરવામાં આવી હતી. જે બાદ નિઝામપુરા, રાજમહેલ રોડ, માંજલપુર થઈને અંત અટલાદરા મંદિર ખાતે કરવામાં આવ્યો હતો. આ ગુરુવારે બપોરે 12 વાગે 3,245 વાનગીઓનો અન્નકૂટ ધરાવાશે. આ સાથે બપોરે 12 વાગે મંદિરમાં ભગવાન રામનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આરતી કરવામાં આવશે. રાત્રે 10 વાગે ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની ઉજવણી સાથે આરતી કરવામાં આવશે. ગાયકવાડ સરકાર દ્વારા છાણીમાં ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત કરાયું હતુંગાયકવાડ સરકારના સમયમાં વડોદરા શહેરમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા. ત્યારે ગાયકવાડ સરકાર દ્વારા છાણી ખાતેથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છાણી ગામમાં એક ઓટલો પણ જ્યા ભગવાન સ્વામિનારાયણે વિશ્વામ કર્યો હતો. જેના કારણે આ શોભાયાત્રાની શરૂઆત છાણીથી કરવામાં આવી હતી.
દાંડિયા બજારમાં 150 વર્ષ પૂર્વે 1872માં દિંડોરકર પરિવારે પેશ્વા શૈલીમાં ભગવાન રામનું મંદિર બનાવડાવ્યું હતું. જેની વિશેષતા એ છે કે, મંદિરમાં સ્થપાયેલી ભગવાન રામની મૂર્તિ અભય મુદ્રામાં છે. આ મુદ્રામાં શ્રીરામની પ્રતિમા વિશ્વમાં માત્ર 2 સ્થળે જ છે. જે પૈકી એક વડોદરામાં અને એક નાશિકના પંચવટીના કાળારામ મંદિરમાં છે. મંદિરમાં બ્લડ પ્રેશરની અક્સિર દવા ગણાતા અર્જુન વૃક્ષના લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો છે. મંદિરનું સંચાલન કરતા ગોવિંદ મહારાજે જણાવ્યું હતું કે, અમારા દાદા દ્વારા 1872માં આ મંદિરની સ્થાપના કરાઈ હતી. મંદિરમાં રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિ નેપાળની ગંડકી નદીના કાળા પાષાણમાંથી બનાવવામાં આવી છે. ગંડકી નદીમાંથી મળી આવતા આ પથ્થરોને શાલિગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ ઉમેર્યું હતું કે, અભય મૂદ્રામાં શ્રીરામનો જમણો હાથ તેમની છાતી પર છે અને ડાબો હાથ યોગ મૂદ્રામાં છે. આ મૂદ્રાનો અર્થ છે કે, ‘ગભરાશો નહીં’ અથવા ‘હું તમારી રક્ષા કરીશ’. શહેરમાં વિવિધ જગ્યાએ રામ શોભાયાત્રા-રામધૂનનું આયોજન ગુજરાતમાં માત્ર 2 જગ્યાએ હનુમાનજીના હાથમાં ધનુષ્ય હોય તેવી મૂર્તિ છેમૂર્તિની સંરચના એવી રીતે કરાઈ છે કે, હનુમાનજીની દૃષ્ટિ રામજીના પગ પર પડી રહી છે. મૂર્તિના ધાર્મિક મહત્વ મુજબ, રામ-રાવણ યુદ્ધમાં લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે રામજી પાસે હથિયાર નહોતા. હનુમાજીએ રામજીનું ધનુષ્ય-બાણ લઈને યુદ્ધ કર્યું હતું. યુદ્ધ બાદ હનુમાનજી ભગવાનની સામે ઊભા હતા તેની પ્રતિકૃતિ આ મૂર્તિ છે. આવી બીજી મૂર્તિ સુરતના વ્યારામાં આવેલી છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસી દ્વારા 26 અને 27 માર્ચે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ માટે બે દિવસીય ઓનલાઈન રિફ્રેશર કોર્સનું આયોજન કરાયું છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના સહયોગથી યોજાનારા કાર્યક્રમમાં અંદાજે 700 સહભાગીએ નોંધણી કરાવી છે. આ કોર્સનો મુખ્ય હેતુ ફાર્માસિસ્ટના વ્યાવસાયિક જ્ઞાન અને કુશળતામાં વધારો કરવાનો છે. બે દિવસ દરમિયાન ડ્રગ ડિલિવરી સિસ્ટમમાં નવીનતા, ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર, દવાઓનું માર્કેટિંગ, ડ્રગ-ફૂડ ઇન્ટરએકશન અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ જેવા વિષયો પર નિષ્ણાતો વ્યાખ્યાન આપશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ભાલચંદ્ર એમ. ભાણગેના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગિલ્બર્ટ મકવાન હાજર રહેશે. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓ માટે ઓનલાઈન પરીક્ષા યોજાશે. ફાર્મસી ફેકલ્ટીના હેડ અને ડીન ડૉ. કિર્તિ પટેલે જણાવ્યું હતું કે આવા રિફ્રેશર કોર્સ ફાર્માસિસ્ટને નવા વિકાસ અને નૈતિક પ્રથા વિશે અપડેટ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અધ્યાપકોની ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન તૈયાર:મ.સ.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી માટે ઓએસડીની નિમણૂક
મ.સ.યુનિ.માં અધ્યાપકોની ભરતી માટે ઓએસડીની નિમણૂક કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયાના ઓએસડી તરીકે પ્રો.ધનેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે નોટિફિકેશન તૈયાર કરાયું છે. કાયમી અધ્યાપકોની ભરતી માટે પણ ઓએસડી જ પ્રક્રિયા કરશે. આગામી શૈક્ષણિક વર્ષ માટે હંગામી અધ્યાપકોની ભરતી માટે યુનિવર્સિટી સત્તાધીશોએ હજી નોટિફિકેશન પણ બહાર પાડ્યું નથી. અધ્યાપકોની ભરતી પ્રક્રિયા કરવા માટે યુનિવર્સિટી દ્વારા રિક્રૂટમેન્ટ સેલ બનાવ્યો છે, જેના ઓએસડી તરીકે પ્રો.ધનેશ પટેલની નિમણૂક કરાઈ છે. 750 હંગામી અધ્યાપકોની ભરતી કરવી પડે તેવી શક્યતા છે. જેના માટે તમામ ફેકલ્ટીના ડીનો સાથે ઓસએસડીએ બેઠક પણ કરી લીધી છે. બે-ત્રણ દિવસમાં નોટિફિકેશન બહાર પડાય તેવી શક્યતા છે. આગામી સમયમાં કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પણ કરવામાં આવનાર છે. કાયમી અધ્યાપકોની ભરતી માટે સરકારે મંજૂરી તો આપી છે પણ કાર્યવાહી શરુ થઈ નથી. યુનિવર્સિટીમાં એક તબક્કે કાયમી અધ્યાપકોની 1350 જગ્યા હતી. છઠ્ઠુ પગારપંચ લાગુ થયું ત્યારે 300 જગ્યા ખાલી હતી. ભરતી પ્રક્રિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નડશેઆગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. જો ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવશે તો યુનિવર્સિટીમાં હંગામી અને કાયમી બંને ભરતી પ્રક્રિયા કરવા માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવી પડે તેવી શકયતાઓ છે.
પાલિકા-સિક્યુરિટી એજન્સીએ મોઢું ફેરવ્યું:ઘાયલ કર્મચારીને એમ્બ્યુલન્સમાં લઈ પરિવાર પાલિકામાં પહોંચ્યો
વડીવાડીમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટેમ્પા પરથી પડી ઇજાગ્રસ્ત થનાર યુવકના ખર્ચ બાબતે પાલિકા અને સિક્યુરિટી એજન્સીએ હાથ ઊંચા કર્યા છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત યુવકને લઈ પરિવાર પાલિકામાં પહોંચ્યો હતો. તેઓએ રૂ.4 લાખથી વધુનો ખર્ચ આપવા માગ કરી હતી. દબાણ શાખાની ટીમ સોમવારે વડીવાડી રોડ પર દબાણ હટાવવા ગઇ હતી. તે સમયે ટેમ્પોમાં મૂકેલી રેલિંગ વૃક્ષમાં ભટકાતા બાજુમાં બેઠેલા કર્મચારી ગોપાલ રબારી નીચે પટકાયા હતા. જેમાં તેઓનો થાપાનો બોલ તૂટી જતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે સિક્યુરિટી એજન્સીએ એસએસજીમાં સારવાર કરાવવા કહી ખર્ચ આપવાની ના પાડી હતી. બે દિવસથી ઇજાગ્રસ્ત ગોપાલ રબારીને વિવિધ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે, પરંતુ પાલિકાના અધિકારી કે સિક્યુરિટી એજન્સીના અધિકારી જોવા આવ્યા નથી. બુધવારે પરિવારજનો ઈજાગ્રસ્ત ગોપાલ રબારીને એમ્બ્યુલન્સમાં લઈ પાલિકાએ પહોંચ્યા હતા. પરિવારજનોએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં રૂ. 4થી 5 લાખનો ખર્ચો કર્યો છે. પરંતુ પાલિકા કે સિક્યુરિટીના એક પણ અધિકારી જોવા આવ્યા નથી. ઘરમાં નાના બાળકો છે. તેવામાં પાલિકા મદદ કરે તેવી અમારી માગ છે.
પાલિકાની ચૂંટણી ગમે તે ક્ષણે જાહેર થવાની સંભાવના છે. તેવામાં ભાજપ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓના ઉજાગરા શરૂ થયા છે. 19 વોર્ડની સ્થિતિ ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા પ્રમુખે વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ અને પ્રભારીઓ સાથે બેઠક કરી હતી. અન્ય પક્ષોની કામગીરી, મતદારોનો મિજાજ અને ગત ચૂંટણીના મતદાન અંગેનો ચિતાર મુકાયો હતો. તાજેતરમાં જાહેર કરાયેલી 19 વર્ષની મતદાર યાદી પર વિવિધ પક્ષે કામ શરૂ કર્યું છે. ત્યારે મિશન 76નો લક્ષ્યાંક લઈને ચાલતી ભાજપના કાર્યાલયમાં હોદ્દેદારોના કાર્યકરોના ઉજાગરા થઈ રહ્યા છે. સૂત્રો મુજબ શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ 19 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી સાથે બેઠક કરી હતી. જેમાં વોર્ડમાં ગત ચૂંટણીનું મતદાન, માર્જિનથી જીત કે હાર, હાલની પરિસ્થિતિ, લોકોનો મિજાજ, વોર્ડની સમસ્યાઓ, જાતિય સમીકરણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. મંગળવારે રાત સુધી 1થી 7 વોર્ડના હોદ્દેદારોની બેઠકો ચાલુ હતી. ત્યારબાદ બુધવારે પણ બાકીના વોર્ડના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આગામી ‘મન કી બાત’ કાર્યક્રમમાં સંગઠન દ્વારા વોર્ડ દીઠ ચૂંટણી સમિતિના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે તેની પણ ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સંજય જોષીના નજીકના ધનરાજ રાયબોલેનો પુત્ર યુવા મોરચામાં, વિવાદ પ્રદેશ કક્ષાએ પહોંચ્યોભાજપના સૂત્રો મુજબ યુવા મોરચામાં શહેર કારોબારી સભ્ય તરીકે કેયુર રાયબોલેને નિમણૂક અપાઈ છે. સંજય જોશીના નિકટના ગણાતા રાયબોલેના પુત્રને સંગઠનમાં સમાવાતાં કાર્યકરોમાં ભારે આશ્ચર્ય છે. પ્રદેશ સ્તરે આ મુદ્દો પહોંચતા જ વડોદરા સંગઠનને ઠપકો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાજપનું એક જૂથ માને છે કે આ મુદ્દે પ્રદેશ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરાશે. કોંગ્રેસમાંથી આવેલાને ઉપપ્રમુખ બનાવતા કાર્યકરોએ કહ્યું, જૂનાની અવગણના થઇ છેસંગઠને સમિતિ-મોરચામાં પદાધિકારી નિમ્યાં છે. વોર્ડ-5માં અક્ષય સુથારને ઉપપ્રમુખ બનાવતા કાર્યકરોએ કહ્યું કે, જૂનાની અવગણના થઇ છે. અક્ષય સુથારે પાલિકાકર્મી સાથે માથાકૂટ કરી હતી. જેનાથી પાર્ટીની બદનામી થયાની ચર્ચા છે.
વિશ્વામિત્રીમાં નખાયેલા કાટમાળ અંગે હ્યુમન રાઈટ્સ કમિટીએ કરેલા અવલોકન અને ભલામણનો રિપોર્ટ કમિશનમાં રજૂ કર્યો છે. નક્કર કામ ન થતાં પાલિકામાં બેઠકમાં કમિટીના સભ્યોએ અસંતોષ વ્યક્ત કરી કહ્યું કે, ‘મે સુધીમાં નદીમાંથી કાટમાળ કાઢો નહીં તો હાથ ઊંચા કરી દો કે અમારાથી નહીં થાય’ પાલિકામાં હ્યુમન રાઈટ કમિટીના રોહિત પ્રજાપતિ, નેહા સરવટે, મિતેશ પંચાલ, રાજેન્દ્રસિંહ દેવકર અને ડો. જીતેન્દ્ર ગવળી સાથે મ્યુનિ. કમિશનર અને અધિકારીઓની બેઠક મળી હતી. આ અંગે મ્યુનિ.કમિશનરે કહ્યું કે, કાટમાળ કાઢવાના સૂચન બાદ એક્શન પ્લાનની સૂચના આપી છે. 2 સ્થળેથી કાટમાળ કાઢવાનું કામ શરૂ કરાશે. રિપોર્ટમાં નદી-પૂર વિસ્તારમાં કાટમાળ ઠલવાયાનો ઉલ્લેખ હતો. બેઠકમાં રિપોર્ટ બાદ નક્કર કામ ન થયું હોવાની ફરિયાદ સભ્યોએ કરી છે. સૂત્રો મુજબ સભ્યોએ મે સુધીમાં કાટમાળ કાઢી લેવા કહ્યું હતું અને ટકોર કરી હતી કે, જો તમારાથી ન થાય તો હાથ ઊંચા કરી લો. કમિટીના સભ્યોએ 10થી 15 દિવસમાં કેટલો કાટમાળ કાઢ્યો તેનો રિપોર્ટ આપવા પણ કહ્યું છે. કાટમાળનું પ્રોસેસિંગ કરતા સી એન્ડ ડી પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરો, નવા પ્લાન્ટ પણ ઊભા કરોસૂત્રો મુજબ સભ્યોએ કહ્યું હતું કે, નદીને ઊંડી-પહોળી કર્યા બાદ પણ નવો કાટમાળ નાખવામાં આવ્યો છે. ડ્રોનની મદદથી તેને શોધી શકાય તેમ છે. જોકે વિપુલ પ્રમાણમાં કાટમાળ કાઢી તેનું પ્રોસેસિંગ કરવા માટે બીજા સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભા કરવા પડશે. તેમજ અટલાદરા ખાતેના પ્રોસેસિંગ પ્લાટિક ક્ષમતા પણ વધારવી પડશે.
ગરબા મહોત્સવની અનોખી પરંપરા:ગઢોડામાં 67 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ ગરબા
હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં આસો માસને બદલે ચૈત્ર માસમાં માતાજીની આરાધના સહિત નવ દિવસનો ગરબા મહોત્સવ યોજાય છે. છેલ્લા 67 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જે તે સમયે ચૈત્ર મહિનામાં માતાજીના મંદિરનો પુન: નિર્માણ કરવામાં આવ્યો હતો અને તે સમયે ચૈત્ર મહિનામાં ગરબા મહોત્સવનું આયોજન કરવા નિર્ણય લેવાયો હતો. જે આજ દિન સુધી અકબંધ જળવાઈ રહ્યો છે. આ સિવાય ગ્રામજનો બીજી કોઈ સ્પષ્ટતા કરવા અસમર્થ થતા દાખવી રહ્યા છે. સામાન્ય રીતે ભારત વર્ષમાં ચાર નવરાત્રીઓનું મહત્વ હિન્દુ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે જેમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રિ, અને પુષ્ય નવરાત્રીનો સમાવેશ થયો છે જે પૈકીની ચૈત્રી ગઢોડામાં 67 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ ગરબા નવરાત્રીનું અનેરું મહત્વ હોય છે. ચૈત્ર મહિનાના શુકલપક્ષની પ્રતિ પ્રદા તિથિ એટલે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. આ ચૈત્રી નવરાત્રી નવ દિવસ માતા દુર્ગાની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે. ચૈત્રમાં મંદિરનું પુન:નિર્માણ કરાયા બાદ પ્રથા શરૂ થઈચૈત્ર મહિનામાં માતાજીના મંદિરનું પુન:નિર્માણ કરાયા બાદ આ પ્રથા શરૂ કરાઈ હોવાનું ગામના લોકો જણાવે છુ. આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવી પહોંચતા હોય છે. નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે ને નવમા દિવસે ગઢ ભવાની માતાજીના મંદિર ખાતે રામનવમીનું હવન યોજાતું હોય છે. આ હવનના દિવસે લોકમેળો પણ યોજવામાં આવતો હોય છે અને મોટી સંખ્યામાં લોકો હવનનો અને મેળાનો લાભ લેતા હોય છે
કરો રામજીના અલૌકિક મંદિરના દર્શન:વડાલીનું પ્રાચીન રામજી મંદિર સદીઓ જૂની સંસ્કૃતિનું પ્રતિક
વડાલીના પશ્ચિમ ભાગમાં આઝાદ ચોક પાસે આવેલું પ્રાચીન રામજી મંદિર મધ્યકાલીન યુગથી સંસ્કૃતિ અને સામાજિક એકતાનું અજોડ પ્રતિક છે. આ મંદિરની સ્થાપના ઉત્તર પ્રદેશથી પધારેલા મહંત લક્ષ્મણદાસજીના માર્ગદર્શન હેઠળ થઈ હતી. તેમણે આસપાસના 13 ગામોના કડવા પટેલ સમાજને સંગઠિત કરી, લોકફાળા દ્વારા આ ભવ્ય ઠાકોરદ્વારનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ ભક્તો માટે અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે. સંત પરંપરા અને સમૃદ્ધિ મહંત લક્ષ્મણદાસજીએ અહીં અખાડાની પરંપરા મુજબ અખંડ ધૂણી પ્રજ્વલિત કરી હતી, જે આજે પણ મંદિરની પવિત્રતા અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિક છે. તેમના શિષ્ય રઘુનંદનજી મહારાજ, જેઓ સિદ્ધ મહાત્મા તરીકે જાણીતા હતા, તેમના સમયમાં મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. લોકવાયકા મુજબ, તે સમયે મંદિરની સમૃદ્ધિ એટલી હતી કે ઠાકોરદ્વારના આંગણે ગજરાજ (હાથી) પણ બંધાતો હતો. મંદિરના ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામચંદ્રજી, માતા સીતાજી અને લક્ષ્મણજીની મનોહર પ્રતિમાઓ બિરાજમાન છે, જ્યારે પ્રવેશદ્વાર પાસે હનુમાનજીની ભવ્ય મૂર્તિ ભક્તોમાં વિશેષ આસ્થા જગાવે છે. આજે પણ આ મંદિર ભક્તો માટે માનસિક શાંતિ અને આત્મિક સંતોષનું કેન્દ્ર છે. મહંતો દ્વારા સિંચાયેલા સંસ્કારો અને આધ્યાત્મિક જ્યોત આજે પણ વડાલીના જનજીવનમાં જીવંત રહી પેઢી દર પેઢી પ્રેરણા આપી રહી છે.
ઈડર બેઠકના ઓબ્ઝર્વર શ્યામ યાદવની દાદાગીરી:હિંમતનગરમાં આપ નેતાએ બાઈક સવારને ટક્કર મારીને ધમકી આપી
હિંમતનગર શહેરના છાપરીયા ચાર રસ્તા પાસે મંગળવારે સાંજે રોડ પર જોખમી રીતે બાઈક ચલાવતા આમ આદમી પાર્ટીના ઈડર વિધાનસભા બેઠકના ઓબ્ઝર્વર શ્યામ યાદવ અને તેના સાથીદારે એક એક્ટિવા સવારને ટક્કર મારી બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે એ-ડિવિઝન પોલીસે ગૂનો નોંધી તુજે માર કે ચલા જાઉંગા, મેં બિહાર કા હૂં ની ધમકી આપનારને પકડવા તજવીજ હાથ ધરી હતી. હિંમતનગરના મોન્ટુપુરી ગોસ્વામી (ઉ.વ. 39) વ્યવસાયે ડ્રાઈવર છે. ગત મંગળવાર, 24 માર્ચના રોજ સાંજે 7:15 કલાકે તેઓ પોતાનું એક્ટિવા GJ-09-DS-7000 લઈને નવા ગામથી મોતીપુરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આગળ જઈ રહેલા બાઈક GJ-31-L-3985 ના ચાલકે તેનું બાઈક રોડ પર જોખમી રીતે રેલાવતા (ઝિગ-ઝેગ મોન્ટુપુરીએ તેને બાઈક સીધી ચલાવવા ટકોર કરી હતી. આ ટકોરથી ઉશ્કેરાયેલા બાઈક ચાલકે છાપરીયા ચોકડી પાસે ખેતીવાડી બેંક નજીક મોન્ટુપુરીના એક્ટિવાને સાઈડમાં ટક્કર મારી હતી. બાઈક પર પાછળ બેઠેલા શ્યામ યાદવે ઉશ્કેરાઈને હિન્દીમાં ધમકી આપતા કહ્યું હતું કે, જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું.મારું નામ શ્યામ યાદવ છે અને હું બિહારનો છું, તને મારીને જતો રહીશ. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 281, 352, 351(2), 54 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરમાં ત્રણ પવિત્ર મંદિરોના નિર્માણ માટે ભવ્ય શિલાન્યાસ અને ઉછામણી મહોત્સવની તૈયારી તેજ બની છે. 26 માર્ચે યોજાનાર આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાની અપેક્ષા છે. સમિતિ દ્વારા દાન અર્પણ માટે પણ વ્યાપક અપીલ કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બનનાર નૂતન મોટા રામજી મંદિર, શ્રી જગન્નાથ ભગવાન મંદિર અને અંબા માતાજી મંદિરના નિર્માણ માટે ભવ્ય શિલાન્યાસ અને ઉછામણી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ 26 માર્ચ 2026ના રોજ, ગુરુવારે, શ્રી 31 ગામ કડવા પાટીદાર સમાજ વાડી, સધીમાં મંદિર પાસે, ગઢામણ રોડ પર યોજાશે. રામ સેવા સમિતિ તથા સમસ્ત હિંદુ સંગઠનોના સંયુક્ત આયોજન હેઠળ યોજાતા આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠીઓ, વેપારી સંગઠનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપશે. આ પ્રસંગે ત્રણેય મંદિરોના ભવ્ય નવ નિર્માણના કાર્યનો સાક્ષી બનવાનો અવસર મળશે. સમિતિ દ્વારા જણાવાયું છે કે મંદિર નિર્માણ માટે પાયાનું પૂજન અને પથ્થર ઘડતરનું કાર્ય પહેલેથી જ પ્રગતિમાં છે. આ સાથે જ દાતાઓ માટે દાન અર્પણની વ્યવસ્થા પણ શરૂ કરી છે, જેમાં QR કોડ દ્વારા સરળતાથી દાન આપી શકાય છે. આગામી 24 એપ્રિલ 2026ના રોજ વૈશાખ સુદ-8ના શુભ દિવસે મુખ્ય શિલાન્યાસ વિધિ યોજાશે, જેમાં ત્રણ મુખ્ય આધારશિલા તથા 24 ઉપશિલાઓનું સ્થાપન કરાશે. દરેક આધારશિલા સાથે ભાગ્યશાળી દાતાનું નામ તામ્રપત્રમાં નોંધાશે. ધાર્મિક વિધિમાં નવ દિશાઓના દેવતાઓનું વિશેષ સ્થાન દર્શાવતું શાસ્ત્રીય આયોજન પણ કરવામાં આવ્યું છે, જે આ કાર્યક્રમને વધુ પવિત્રતા અને વૈભવ આપે છે. સમિતિએ તમામ સનાતન હિંદુ સમાજને આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે.સમિતિએ જણાવ્યું કે આ પ્રસંગ માત્ર મંદિર નિર્માણ નહીં પરંતુ સંસ્કાર અને સનાતન ધર્મના પ્રસાર માટેનું મહત્વપૂર્ણ પગલું છે. 24 શિલાઓ માટે પ્રારંભિક દાનની રકમ 2,51,000 શિલાન્યાસ અને દાનની મુખ્ય વિગતો ત્રણેય મંદિરોના નિર્માણ માટે દાન વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્ય આધારશિલા માટે ભગવાન રામ, લક્ષ્મણ-સીતા અને જગન્નાથજીની મૂર્તિઓ માટે નિશ્ચિત રકમ નક્કી કરી છે. ઉપરાંત અંબા માતાજી માટે પણ અલગ ચડાવો રાખ્યો છે. કુલ 24 ઉપશિલાઓ માટે પ્રારંભિક દાન રકમ 2,51,000 થી શરૂ થાય છે. દરેક દાતાનું નામ તામ્રપત્રમાં લખીને શિલા સાથે સ્થાપિત કરાશે . ધાર્મિક વિધિ અને વિશેષતાશિલાન્યાસ વિધિમાં નવ દિશાઓના દેવતાઓનું શાસ્ત્રીય વિધાન અનુસાર સ્થાપન કરાશે. દરેક દિશાને અનુકૂળ પ્રતિકો જેમ કે ત્રિશૂલ, વજ્ર, ગદા, અંકુશ વગેરેનો સમાવેશ થાય છે. મધ્યભાગમાં વિશેષ સ્તંભોની રચના દ્વારા સમગ્ર વિધિ પૂર્ણ થશે.
કાંકરેજના MLAએ ખેડૂતો માટે વળતરની માંગ કરી:765 KV લાઈનથી પાક નુકસાન 6 માસથી ખેડૂતો વળતર વિહોણા
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તાલુકાના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. કાંકરેજ અને ડીસા તાલુકામાં પાવર ગ્રિડ કંપની દ્વારા 765 KV વીજ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરી છે. આ કામગીરી દરમિયાન વીજપોલ ઉભા કરવા ખેડૂતના ઉભા પાકને નુકસાન પહોંચ્યું હોવા છતાં અત્યાર સુધી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવાયું નથી. પોલ નાખ્યા બાદ 6 મહિના જેટલો સમય પસાર થયો હોવા છતાં ખેડૂતો વળતર માટે રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત જેટકો કંપની દ્વારા પણ ખેતરોમાં મનમાની રીતે વીજ લાઇન નાખવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ધારાસભ્યે માંગણી કરી કે જે ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઉભા કરવામાં આવ્યા છે, તેમને તેના બદલામાં માસિક ભાડું આપવામાં આવે, કારણ કે વીજપોલ ખેતરની નોંધપાત્ર જમીન રોકી રાખે છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ખેડૂતોની વેદનાને ધ્યાનમાં રાખીને સરકાર પાસે તાત્કાલિક વળતર ચૂકવવા અને યોગ્ય નીતિ ઘડવાની માંગ કરી હતી.
પ્રજાજન પરેશાન:પાલનપુરમાં ધનિયાણા ચોકડીએ ગટર નાખ્યા બાદ મહિનાથી રોડ બન્યો નથી
પાલનપુરમાં ધનિયાણા ચોકડીથી હાઉસિંગ બોર્ડ વચ્ચેના 500 મીટરનો માર્ગ ખોદીને ભૂગર્ભ ગટરલાઇન નાંખી છે. જે કામ પુરૂ થયાને એક માસનો સમય થયો હોવા છતાં નવો માર્ગ બનાવાયો નથી. તેનાથી શુ મુશ્કેલીઓ પડી રહી છે. તે જાણવા માટે રિયાલિટી ચેક કરી હતી. અડધો કલાક રોકાતા જોવા મળ્યું કે, અંબાજી, આરટીઓ કચેરી અને ધનિયાણા તરફથી આવતાં વાહનો પસાર કરવા માટે કોઇ નિયમન થતું નથી. વાહન ચાલકો મરજી પ્રમાણે બંને સાઇડના માર્ગનો ઉપયોગ કરતા હોવાથી સામસામે મોટા વાહનો આવી જાય ત્યારે વારંવાર ટ્રાફિકજામ થાય છે. તૂટેલા માર્ગે વાહનો પસાર થતાં ખાડામાં ટાયર પટકાય છે. એમ્બ્યુલન્સ, શબવાહિની, એસ. ટી. બસો સહિતના વાહન ચાલકો અને મુસાફરો તેમજ સ્થાનિક રહિશો- વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે. મોટી માત્રામાં ધૂળ ઉડીને આજુબાજુની દુકાનોમાં જઇ રહી હોવાથી વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે. 5 જેટલી સોસાયટીના રહીશોને પણ અવર - જવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. પાલિકાને ડિપોઝિટ જમા કરાવવા નોટિસબનાસકાંઠા માર્ગ મકાન વિભાગના અધિકારીના આશિષ પટેલે જણાવ્યું કે નગરપાલિકાએ નિયમ મુજબ રોડની સાઇડમાં પાઇપલાઇન નાંખવાને બદલે વચ્ચે ખોદકામ કર્યું છે. આ મુદ્દે નોટિસ આપી છે. તેમજ રૂપિયા 1.75 કરોડ ડિપોઝિટ જમા કરવા જણાવાયું છે. જે પછી માર્ગ મકાન વિભાગ દ્વારા નવા માર્ગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. બિસમાર માર્ગ અને ધૂળની સમસ્યામાં લોકોની વેદના
ઇ.વી. વાહનોની ખરીદી વધી:શહેરની જુદીજુદી કંપનીઓમાં 30થી વધુ ટુ-વ્હીલર, ફોર વ્હિલરનું બુકિંગ
ગુજરાતમાં પેટ્રોલ ડિઝલની અછતની અફવા બનાસકાંઠા સુધી પહોંચી હતી. જ્યાં પેટ્રોલપંપે વાહનોની કતારો લાગી હતી. આવી સ્થિતિ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં પાલનપુરમાં 8થી વધુ જુદી જુદી કંપનીના શો રૂમમાં 30થી વધુ ટુ-વ્હિલર અને ફોર વ્હિલર વાહનોનું વેચાણ થયું હતુ. બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડિઝલ અને ગેસથી સંચાલિત વાહનોની સાથે સાથે ઇ.વી. વાહનોની પણ ખરીદી વધી રહી છે. આ અંગે પાલનપુરમાં ઇલેકટ્રીક વ્હિકલની કંપનીના સંચાલકોએ જણાવ્યું કે, ત્રણ દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર ''પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે તેવી ઉડેલી અફવા બાદ પાલનપુરમાં 20 જેટલા નવા ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં ટુ-વ્હિલરની સંખ્યા વધુ છે. આ ઉપરાંત વિવિધ શો-રૂમમાં છેલ્લા 72 કલાકમાં 30થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના બુકિંગ નોંધાયા છે. આ અંગે પાલનપુરના હર્ષિત પટેલે જણાવ્યું કે, પહેલા ઇ.વી. વાહનોની બેટરી લાઈફ બાબતે શંકા હતી. પરંતુ હવે કંપનીઓ દ્વારા અપાતી લાંબી વોરંટી અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે મે ઇલેકટ્રીક બાઇક ખરીદ્યું છે. બનાસકાંઠામાં 50 હજાર ઉપરાંત ઇ.વી. વાહનો બનાસકાંઠા આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 50,000થી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને રિક્ષાઓ નોંધાઇ છે. ખાસ કરીને ખેતીવાડી અને સ્થાનિક ટ્રાન્સપોર્ટમાં પણ ઇલેક્ટ્રિક રિક્ષાનું પ્રમાણ વધ્યું છે.
આજે રામનવમી:આજે પાલનપુરમાં 29 વિસ્તારોના 8 કિમી લાંબા રૂટ પર 7-8 કલાક શ્રી રામ નગરચર્યાએ નીકળશે
પાલનપુર શહેરમાં રામનવમી નિમિત્તે આજે રામ લલ્લાનો ભવ્ય રથોત્સવ યોજાશે, જેમાં બપોરે 12 વાગ્યે રામ જન્મોત્સવ ઉજવી મહા આરતી અને ઝુલાદર્શન બાદ બપોરે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શહેરના 29 વિસ્તારોમાં અંદાજે 8 કિલોમીટર લાંબા રૂટ પર ફરતી આ યાત્રા 7થી 8 કલાકમાં નિજ મંદિરે પરત ફરશે. શોભાયાત્રામાં જુદા જુદા અખાડા, ડીજે, ભજન મંડળી સાથે 4 બગી, એક હાથી, 2 ઊંટલારી, 2 ટ્રેક્ટર અને 5થી વધુ વાહનો જોડાશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. જય શ્રી રામના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાશે. યાત્રા રૂટમાં મોટીબજાર, નાની બજાર, ત્રણબત્તી, ખોડાલીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સુરેશમહેતા ચોક, ગલબાભાઈનું પુતળું, અયોધ્યાનગર, ગોબરી રોડ, સંજયચોક, સીટીલાઇટ, ગુરુનાનક ચોક, કિર્તીસ્તંભ, રેલવે સ્ટેશન, સિમલાગેટ, નગરપાલિકા, લક્ષ્મણટેકરી, વિજયચોક, શક્તિનગર અને બ્રિજેશ્વર કોલોની સહિતના વિસ્તારો આવરી લેવાશે. જેને લઇ પાલિકા દ્વારા દરેક સ્થળે વહેલી સવારે મહાસફાઈ કરાશે. શોભાયાત્રા દરમિયાન 450 કિલો પ્રસાદ તૈયાર કરાયો છે જે ભક્તોને વહેંચવામાં આવશે. મોટી બજાર, ખોડા લીમડા, ગઠામણ ચોક, અયોધ્યા નગર, ગુરુનાનક ચોક, સીમલા ગેટ, વિજય ચોક, શક્તિ નગર, એકે ફ્યુલ સેન્ટર અને બીજે સર કોલોની સહિતના સ્થાન ઉપર પાણી સરબતની વ્યવસ્થા કરી છે. રામજી મંદિરના મહંત શ્રી રાઘવ ચરણદાસજીએ જણાવ્યું કે શ્રીરામ સેવા સમિતિ જુદા જુદા હિંદુ સંગઠનો દ્વારા યાત્રા આયોજન કરાયું છે. ઘોડેસવાર પોલીસ,200જવાનો સાથે પેટ્રોલિંગશહેરમાં રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસે બુધવારે સાંજે 6 કલાક બાદ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ડીવાયએસપી ડો. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ એસઓજી, એલસીબી, પૂર્વ-પશ્ચિમ પોલીસ સ્ટેશન અને ઘોડેસવારી પોલીસ સહિત 200થી વધુ જવાનો તથા 10થી વધુ વાહનો સાથે રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ યોજાયું હતું. જિલ્લામાં આ સ્થળોએ શોભાયાત્રા નીકળશે
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા વેલિડેશન એક્ટ-2025 (પેન્શનર્સ સુધારણા બિલ) સામે પાટણ જિલ્લા પેન્શનર મંડળમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મોટી સંખ્યામાં પેન્શનરોએ એકઠા થઈ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વેલિડેશન એક્ટ 2025ના વિરોધમાં પેન્શનર મંડળ દ્વારા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ કાનજીભાઈ પટેલે જણાવ્યું કે 25 માર્ચ 2025ના રોજ કોઈપણ પૂર્વ સૂચના વિના લોકસભામાં આ કાયદો પસાર કરાયો હતો. આ કાયદાથી પેન્શનરોમાં બે ભાગલા પડશે, જેના કારણે જૂના પેન્શનરોની નિવૃત્તિ ની તારીખ અને પેન્શન હકદારીના સંદર્ભમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બનશે જેનાથી કેન્દ્રીય પગાર પંચ ના કાર્યકાળ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણોના લાભ ગુમાવશે અને હાલના પેન્શનરોને આ મુશ્કેલ સમયમાં પેન્શન વધારવાનો અધિકાર ન મળતો ભારે નુકસાન થશે. આ અન્યાયી કાયદાના વિરોધમાં ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશનના આદેશ મુજબ બુધવારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આગામી સમયમાં દેશવ્યાપી વિરોધ દિવસ મનાવી લડત ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પ્રસંગે મહામંત્રી નાથાભાઈ પટેલ,નાગજીભાઈ દરબાર, ચંદુભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા અભિયાન:મહિલા સુરક્ષાનો સંદેશ આપવા 42 રિક્ષા પાછળ સ્ટીકર લગાવ્યા
જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણમાં મહિલા સશક્તિકરણ માટે એક અનોખું અભિયાન શરૂ કરાયું છે. ધારપુર સિવિલ ખાતે 24કલાક કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓ છેવાડાના ગામડા સુધી પહોંચે તે હેતુથી પરિવહનના સાધનોનો સહારો લેવાયો છે. આ નવીન પહેલ અંતર્ગત શહેર અને ગ્રામ્ય માર્ગો પર દોડતી 42 જેટલી રિક્ષાઓ અને એસ.ટી.બસો પર મહિલાલક્ષી યોજનાઓના માહિતીસભર સ્ટીકરો લગાડવામાં આવ્યા છે. ખાસ કરીને પેટ્રોલ પંપ અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ આ પ્રચાર અભિયાન વેગવંતું બનાવ્યું છે. પીડિત મહિલાઓને એક જ છત નીચે તબીબી અને કાયદાકીય સહાય મેળવી શકે તેમજ ગામડાની મહિલાઓ પોતાના હક પ્રત્યે જાગૃત બને અને મુશ્કેલીના સમયે તંત્રની મદદ મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે આ અભિયાન શરૂ કરાયું છે.
પાલનપુરમાં મહિલા સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરાયું હતું. થિયેટરના પડદા પર એઆઈ આધારિત વીડિયો દ્વારા ગુજરાતની વાસ્તવિક ઘટનાઓ રજૂ કરી મહિલાઓને સુરક્ષા અને તેમના અધિકારો અંગે સચેત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા વિશેષ અભિયાનનો ઉદ્દેશ્ય સમાજમાં મહિલા સુરક્ષા પ્રત્યે સંવેદનશીલતા વધારવાનો અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કરવાનો છે. એઆઈ ટેકનોલોજી અને રીયલ કિસ્સાઓનો સંગમ છે જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના સુર મંદિર થિયેટરમાં ફિલ્મના શો દરમિયાન ત્રણ વિશેષ વીડિયો ક્લિપ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે,આ અભિયાન અંતર્ગત થિયેટરમાં બતાવવામાં આવેલા વીડિયો ખાસ કરીને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત અને જાગૃતિ લાવવાના હેતુથી તૈયાર કરાયા હતા. મુખ્યત્વે મહિલાઓ પર થતા અત્યાચાર આવ્યા હતા.

35 C