દાહોદ નગરપાલિકાની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક રાજકારણમાં મસમોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીમાં જૂના જોગીઓને કાપીને તમામ વોર્ડમાં નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની જે 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવી છે, તેને લઈને પક્ષના પાયાના કાર્યકરો અને પૂર્વ પદાધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ હવે ખુલ્લી બળવાખોરીના સ્વરૂપમાં સામે આવ્યો છે, જેમાં ભાજપના 5 જેટલા પ્રભાવશાળી પૂર્વ નગરસેવકોએ પક્ષ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાની હાજરીમાં આ તમામ નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા શહેરના રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. પક્ષપલટાની આ ઘટનાએ ભાજપના મજબૂત ગઢ ગણાતા દાહોદમાં સત્તાના સમીકરણોને વેરવિખેર કરી દીધા છે. દિગ્ગજ નેતાઓના પક્ષપલટાથી ભાજપમાં સોપો પડી ગયો ભાજપ માટે સૌથી મોટો ઝટકો પૂર્વ કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરનું રાજીનામું માનવામાં આવે છે. લક્ષ્મણ રાજગોર દાહોદ ભાજપનો એક મજબૂત સ્તંભ ગણાતા હતા, પરંતુ ટિકિટ વિતરણમાં તેમની અવગણના થતા તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. તેમની સાથે પૂર્વ નગરસેવક અહેમદ ચાંદ, માસુમાબેન ગરબાડાવાલા, અશ્વતબેન દલાલ અને કિંજલબેન પરમારે પણ ભાજપને અલવિદા કહી દીધું છે. આ પાંચેય નેતાઓ પોતપોતાના વિસ્તારમાં લોકપ્રિયતા અને જનસમર્થન ધરાવે છે. ગતરોજ આ નેતાઓએ ભાજપના સક્રિય સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ જતાં ભાજપ છાવણીમાં મૌન છવાઈ ગયું છે. લક્ષ્મણ રાજગોરનો આકરો પ્રહાર: ભાજપમાં લોકશાહી ખતમ થઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરે ભાજપના સ્થાનિક નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં અત્યારે માત્ર ગણ્યા-ગાંઠ્યા 4 થી 5 લોકો જ આખી નગરપાલિકાનો વહીવટ ચલાવે છે. પાયાના કાર્યકરો કે જેણે વર્ષો સુધી પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો છે, તેમની કોઈ કિંમત રહી નથી. વધુમાં તેમણે ધડાકો કર્યો હતો કે તેમને પક્ષ ન છોડવા માટે ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ જનતાની સેવા કરવા માટે અને પોતાના સ્વાભિમાન માટે તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો મક્કમ નિર્ણય લીધો છે. જનતાની લાગણી અને સેવાનો ઉદ્દેશ્ય સર્વોપરીકોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ નગરસેવકોએ એકસૂરે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય માત્ર સત્તા મેળવવાનો નથી, પરંતુ જનતાની સેવા કરવાનો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ઘણા સમયથી દાહોદની જનતા જે નેતૃત્વ જોઈ રહી છે, તેમાં પરિવર્તન અનિવાર્ય બન્યું છે. ભાજપમાં પાયાના કાર્યકરોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. માસુમાબેન ગાંગડીએ જણાવ્યું હતું કે, અમે પક્ષ ભલે બદલ્યો હોય, પણ અમારી કાર્યપદ્ધતિ અને લોકોના પ્રશ્નો ઉકેલવાની ધગશ એ જ રહેશે. આ નેતાઓએ દાવો કર્યો છે કે તેમના મતદારો અને સમર્થકો પણ આ નિર્ણયથી ખુશ છે અને તેમને પૂરેપૂરો સહકાર આપી રહ્યા છે. કોંગ્રેસની માસ્ટરસ્ટ્રોક રણનીતિ: ઉમેદવારો પાસે કરાવ્યા સોગંદનામાદાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાએ ભાજપના પાંચેય પૂર્વ નગરસેવકોને આવકારતા ભાજપના 'ભ્રષ્ટ શાસન' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શહેરમાં રસ્તા, પીવાના પાણી અને રખડતા ઢોરની સમસ્યાથી જનતા ત્રસ્ત છે. આ વખતે કોંગ્રેસે એક નવી અને કડક રણનીતિ અપનાવી છે. પક્ષમાં જોડાયેલા તમામ પાંચેય પૂર્વ કાઉન્સિલરો પાસે કાયદેસરનું સોગંદનામું કરાવવામાં આવ્યું છે કે ચૂંટણી જીત્યા બાદ તેઓ કોઈ પણ લોભ-લાલચમાં આવીને કોંગ્રેસ છોડીને અન્ય પક્ષમાં જશે નહીં. આ પગલાથી કોંગ્રેસે મતદારોને એ ખાતરી આપી છે કે તેમનો મત એળે જશે નહીં. 'નો રિપીટ થિયરી' ભાજપ માટે આત્મઘાતી સાબિત થશે?ભાજપે એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) રોકવા માટે જે 'નો રિપીટ થિયરી' અમલમાં મૂકી છે, તે અત્યારે ઉંધી પડતી જણાય છે. વર્ષોથી જનતા વચ્ચે રહેતા અને પક્ષનું કામ કરતા નેતાઓને અચાનક કાપી નાખવાથી કેડર લેવલે ભારે અસંતોષ છે. ભાજપના જે નેતાઓ કોંગ્રેસમાં ગયા છે, તેઓ તો દેખીતી રીતે પક્ષને નુકસાન પહોંચાડશે જ, પરંતુ જેઓ હજુ ભાજપમાં રહી ગયા છે અને ટિકિટથી વંચિત છે, તેઓ પણ અંદરખાને 'ભીતરઘાત' કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. ભાજપ દ્વારા નારાજ નેતાઓને મનાવવાના તમામ પ્રયાસો અત્યાર સુધી તો નિષ્ફળ રહ્યા છે.દાહોદમાં હવે ત્રિપાંખિયો જંગ અને નવા રાજકીય સમીકરણોદાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેતી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાનમાં છે. હવે ભાજપના પાંચ મજબૂત ચહેરાઓ કોંગ્રેસમાં જોડાતા જંગ વધુ રોમાંચક બન્યો છે. આ પક્ષપલટાથી અમુક વોર્ડમાં ભાજપના સમીકરણો સાવ બદલાઈ ગયા છે. ભાજપ હવે 'નવા ચહેરા' અને 'મોદી કાર્ડ' પર ભરોસો રાખી રહી છે, જ્યારે કોંગ્રેસ 'અનુભવી ચહેરા' અને 'સ્થાનિક રોષ'નો ફાયદો ઉઠાવવા માંગે છે.ચૂંટણીના પરિણામો પર સૌની મીટદાહોદની જનતા આ પક્ષપલટાને કઈ રીતે લે છે તે તો આવનારો સમય જ બતાવશે. એકતરફ ભાજપનું સંગઠન માળખું છે અને બીજી તરફ કોંગ્રેસમાં જોડાયેલા અનુભવી લોકપ્રતિનિધિઓ છે. શું જનતા વર્ષોથી જોડાયેલા આ નેતાઓને પક્ષ બદલ્યા પછી પણ સ્વીકારશે? કે પછી ભાજપના કમળ પર ફરી વિશ્વાસ મૂકશે? આ તમામ સવાલોના જવાબ ચૂંટણીના પરિણામો સાથે જ મળશે. હાલ તો એટલું ચોક્કસ છે કે 5 નગરસેવકોના રાજીનામાએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે અને કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંક્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગીને લઈને કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી રહી છે. મોડાસાની દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર આયાતી ઉમેદવારના આક્ષેપ સાથે કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ગત રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાં જ મોડાસાની દધાલિયા તાલુકા પંચાયત બેઠકના કાર્યકરોમાં નારાજગી સ્પષ્ટપણે બહાર આવી હતી. આજે દધાલિયાના ગ્રામજનો અને કાર્યકરો મોડાસા ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' પહોંચ્યા હતા. તેમણે આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ આયાતી ઉમેદવારને બદલવાની માંગ કરી હતી. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો ઉમેદવાર બદલવામાં નહીં આવે, તો તેના પરિણામ માટે ભાજપ સુપ્રીમો જવાબદાર રહેશે.
ઝાલાવાડના પાટડી પંથકમાં માનવતા અને પશુ પ્રેમનો એક અત્યંત હૃદયસ્પર્શી અને અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં વ્હીલચેરની મર્યાદા વચ્ચે પણ એક દિવ્યાંગ નિવૃત્ત દાદા પોતાની પૌત્રી સાથે મળીને એક વાનરને અત્યંત સ્નેહપૂર્વક બિસ્કિટ ખવડાવતા નજરે પડ્યા હતા, જે દ્રશ્ય નિહાળી સૌ કોઈના હૃદય ભરાઈ આવ્યા હતા. આ કરુણાભર્યા દ્રશ્યના કેન્દ્રમાં મહેન્દ્રભાઈ કંસારા નામના વૃદ્ધ દાદા હતા, જેઓ પોતાની શારીરિક અશક્તતાને કારણે વ્હીલચેર પર બેઠા હતા. તેમની સાથે તેમની લાડકવાઈ પૌત્રી મિષ્ટી પણ જોડાઈ હતી. આ બંને દાદા-પૌત્રીએ સાથે મળીને કુદરતના અબોલ જીવ એવા વાનર પ્રત્યે આત્મીયતા દર્શાવી બિસ્કિટ અર્પણ કર્યા હતા. ખૂબ જ અદભૂત વાત તો એ હતી કે, સામાન્ય રીતે ચંચળ ગણાતો વાનર પણ મહેન્દ્રભાઈ અને મિષ્ટીના હાથમાંથી અત્યંત શાંતિ અને નિર્ભયતાથી બિસ્કિટ આરોગી રહ્યો હતો. આ દ્રશ્ય માનવ અને પશુ વચ્ચેના પરસ્પર વિશ્વાસ, અસીમ સ્નેહ અને નિઃસ્વાર્થ લાગણીનો એક વિરલ દાખલો પ્રસ્થાપિત કરે છે. આ ઘટના માત્ર પશુને ભોજન કરાવવા પૂરતી સીમિત નથી, પરંતુ તેના દ્વારા દાદા પોતાની પૌત્રીને કુમળી વયે જ જીવદયા અને પરોપકારના પાયાના સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. શારીરિક અશક્તતા હોવા છતાં, અન્ય જીવો પ્રત્યેની તેમની આ કરુણા અને સંવેદના સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે.
ગુજરાત પોલીસનાં ‘ચેક’ નામના નર ડોગે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં મહારાષ્ટ્રનાં નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025–26માં બે અલગ-અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસનાં ચેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું હતું. રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષે રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો માર્ચ-એપ્રિલ, 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી. ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી કારણ કે, રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે રાજ્યના પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યોગુજરાત પોલીસના કુલ છ ડોગે ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી—ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધ—માં બે ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા. ગુજરાત પોલીસનો ‘ચેક’ ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે” એમ ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડએ જણાવ્યું હતું. ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ‘ચેક’એ બાજી મારી હતી અને ગોલ્ડ જીત્યો હતો. નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતાઆ સમગ્ર ઈવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ગુજરાત પોલીસે વહેલી તકે તૈયારી શરૂ કરી હતી અને મેડલ મેળવવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે થોડા મહિના પહેલાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરની પોલીસ ડોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પસંદ કરાયેલા ડોગને વિશેષ તાલીમ આપવામાં આવી, તેમને કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ રાખવામાં આવ્યા અને યોગ્ય સંભાળ આપવામાં આવી હતી. કુલ નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી છ ડોગ્સે વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પોલીસ ડોગ્સ કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ, અને દારૂ શોધ સહિત વિવિધ કામગીરી માટે પ્રશિક્ષિત છે.
પાટણ નગરપાલિકાના વહીવટમાં પાછલા અઢી વર્ષ દરમિયાન સર્જાયેલી નિષ્ફળતા અને આંતરિક જૂથબંધીની ગંભીર નોંધ લઈને ભાજપ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. આગામી સામાન્ય ચૂંટણી માટે ભાજપે 'નો રિપીટ થિયરી' અમલમાં મૂકી તમામ 40 બેઠકો પર નવા ઉમેદવારોની જાહેરાત કરી છે. પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના તમામ સિનિયર નેતાઓને ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા છે. વિકાસમાં નિષ્ફળતા અને જૂથબંધી નડીપાછલા 5 વર્ષના શાસનમાં, ખાસ કરીને અંતિમ અઢી વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ગંભીર આંતરિક ડખા જોવા મળ્યા હતા. પ્રમુખ અને કારોબારી સભ્યો વચ્ચેના મનભેદને કારણે અનેક વિકાસકામો અટવાયા હતા. ગાંધીનગર સુધી પહોંચેલી આ જૂથબંધીને કારણે પક્ષની છબી ખરડાઈ હોવાનું માનીને સંગઠને તમામ જૂના ચહેરાઓને પડતા મૂકવાનો કડક નિર્ણય લીધો છે. આ દિગ્ગજોના પત્તા કપાયાભાજપની સત્તાવાર યાદી મુજબ, ચૂંટણી ચિત્રમાંથી બહાર થયેલામાં જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે: પૂર્વ પ્રમુખ: હિરલ પરમાર, સ્મિતા પટેલ પૂર્વ ઉપપ્રમુખ: હિના શાહ પૂર્વ કારોબારી ચેરમેન: શૈલેષ પટેલ, મુકેશ પટેલ અન્ય અગ્રણીઓ: જયેશ પટેલ (કેસી પટેલના ભાઈ), મહેશ પટેલ, અરવિંદ પટેલ, દેવચંદ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, હરેશ મોદી અને ગીરીશ પટેલ. પ્રમુખ પદ માટે લોબિંગ કરનાર બિપીન પરમારને પણ ટિકિટ આપવામાં આવી નથી. વોર્ડ નંબર 7 પર સસ્પેન્સ યથાવતભાજપે બાકીના વોર્ડમાં ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ વોર્ડ નંબર 7 ના નામો હજુ અનામત રાખ્યા છે. આ વોર્ડમાં જૂના સભ્યોમાંથી કોઈને રિપીટ કરવામાં આવે છે કે કેમ તે અંગે અટકળો તેજ બની છે. ખાસ કરીને શિસ્તબદ્ધ ગણાતા રાજેન્દ્ર હિરવાણીયાના નામ પર સૌની મીટ મંડાણી છે. કોંગ્રેસના સિનિયરો vs ભાજપના જુનિયરોભાજપે તમામ નવા ચહેરા ઉતારતા હવે જંગ રસપ્રદ બનશે. જો કોંગ્રેસ પોતાના સિનિયર અને અનુભવી નેતાઓને મેદાનમાં ઉતારશે, તો પાટણના ચૂંટણી મેદાનમાં 'અનુભવ વિરુદ્ધ ઉત્સાહ' જેવો માહોલ જોવા મળી શકે છે. નવા ઉમેદવારો મતદારોને રીઝવવામાં કેટલા સફળ રહે છે તે પરિણામો જ સ્પષ્ટ કરશે. આંતરિક બળવાની આશંકા?ટિકિટ કપાવાને કારણે સિનિયર નેતાઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. પક્ષના કેટલાક નેતાઓ ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય થઈ જાય અથવા અંદરખાને લોબિંગ કરીને નવા ઉમેદવારોને નુકસાન પહોંચાડે તેવી શક્યતા પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. બીજી તરફ, પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે પત્તું કપાય તે પહેલા જ સામેથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.
ચોટીલામાં ખનિજ માફિયાઓ પર કાર્યવાહી:નાયબ કલેક્ટરે છટકું ગોઠવી ગેરકાયદે કોલસાનો કુવો ઝડપ્યો
ચોટીલામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ખનિજ માફિયાઓ પર કાર્યવાહી કરી છે. નગરપાલિકા ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાનો લાભ ઉઠાવી થાનગઢ તાલુકાના વેલાળા (સા) ગામમાં ગેરકાયદેસર કોલસાનો કુવો ચલાવવામાં આવી રહ્યો હતો, જેને છટકું ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે આ સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે 2:10 વાગ્યાના અરસામાં છટકું ગોઠવીને ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન કુલ 51.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં એક લોડર મશીન, એક ડમ્પર અને 40 મેટ્રિક ટન કોલસો શામેલ છે. આ તમામ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં અરવિંદભાઈ રમેશભાઈ સારદીયા (રહે. ખાખરાથળ, તા. થાનગઢ), મુકેશભાઈ રાયસંગભાઈ સારદીયા (રહે. ખાખરાથળ, તા. થાનગઢ) અને ઘુઘાભાઈ ખાંભલા (રહે. મોરસલ, તા. સાયલા) સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ “ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017” હેઠળ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, તડીપાર અને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સ્થાનિક સ્તરે બેદરકારી દાખવવા બદલ ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ સપાટી પર આવી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સાકરબેન દિવરાણીયા અને તેમના પતિ અર્જણભાઈ દિવરાણીયાએ ભાજપના સંગઠન સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. વર્ષોની વફાદારી બાદ પણ પક્ષમાં થયેલી અવગણનાને કારણે આ દંપતી હવે આમ આદમી પાર્ટી (AAP) તરફ પ્રયાણ કરી રહ્યું છે. સાકરબેન ધંધુસર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય વિનોદ બુસા અને જોલીત બુસા આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી સાસણ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા છે જેનાથી આ બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે. અરજણભાઈ દિવરાણીયાના ભાજપ પર ગંભીર આક્ષેપોપૂર્વ ચેરમેનના પતિ અને પક્ષના પાયાના કાર્યકર્તા ગણાતા અર્જણભાઈ દિવરાણીયાએ પક્ષ છોડતી વખતે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ 1995માં કેશુભાઈ પટેલના સમયથી એટલે કે માત્ર 16 વર્ષની ઉંમરથી ભાજપમાં સક્રિય હતા. તેમની પાસે તે સમયની 5 રૂપિયાની સભ્ય ફીની પહોંચ પણ હજુ સચવાયેલી છે. ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો કર્યોતેમણે પક્ષની આંતરિક કાર્યપ્રણાલી પર પ્રહાર કરતા કહ્યું કે, 2024ના જિલ્લા પંચાયતના બજેટ બોર્ડ વખતે પક્ષના જ કેટલાક નેતાઓએ તેમને હાજર ન રહેવા સૂચના આપી હતી. ભાજપ પાસે 30 માંથી 25 સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, માત્ર 11 સભ્યોની હાજરીમાં વિરોધ પક્ષ કોંગ્રેસના 5 સભ્યોનો ટેકો લઈને બજેટ પસાર કરવાની જે નીતિ અપનાવાઈ, તેનાથી તેઓ વ્યથિત છે. આ અંગેના ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેનને મેદાનમાં ઉતાર્યારાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, ધંધુસર બેઠક પર ટિકિટ ન મળતા આ નારાજગી ઉભી થઈ છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેન દિવરાણીયાને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, સાકરબેન અને અર્જણભાઈનું માનવું છે કે પક્ષમાં વફાદાર કાર્યકર્તાઓને બદલે આયાતી અથવા ચોક્કસ જૂથના લોકો પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. ખાસ કરીને શાપુર બેઠક પર ઇન્દુબેન ભરતભાઈ ચાવડાની પસંદગી પણ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમના પતિ ભરતભાઈ ચાવડા 2020-25 દરમિયાન કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપે જાહેર કરેલા મુખ્ય ઉમેદવારોની યાદીજૂનાગઢ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે 'કમલમ' (ગાંધીનગર) થી ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે, જે મુજબ મુખ્ય ઉમેદવારો નીચે મુજબ છે. સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યની રણનીતિઅર્જણભાઈ દિવરાણીયાએ ઉમેર્યું કે, તેઓ માત્ર રાજકારણ માટે નહીં પણ જનસેવા માટે મેદાનમાં છે. 2001થી 'દાતાર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરીને તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે. હવે જ્યારે સાકરબેન 'આપ' માંથી ધંધુસર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમને પંથકની જનતાના આશીર્વાદ મળશે તેઓ અતૂટ વિશ્વાસ છે.
રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે અને હવે સાણંદ-ધોલેરામાં ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્કના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. 1000 કરોડથી વધુના ડાયરેક્ટ વિદેશી મૂડીરોકાણનું લક્ષ્યગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ MOU સાઇન કરવામાં આવ્યો હતો. આ અવસરે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કરાર હેઠળ સાણંદ-ધોલેરા વિસ્તારમાં ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક વિકસાવવામાં આવશે, જ્યાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહન (EV), રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને તાઈવાનની કંપનીઓ દ્વારા રૂ. 1000 કરોડથી વધુના ડાયરેક્ટ વિદેશી મૂડીરોકાણ (FDI)નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટથી ગુજરાત અને તાઈવાન વચ્ચેનો ઉદ્યોગિક સહયોગ વધુ મજબૂત બનશેઆ સાથે આગામી પાંચ વર્ષમાં આશરે 12,000 લોકોને સીધી રોજગારી મળવાની શક્યતા છે. રાજ્યમાં હાલ 1.24 લાખ કરોડથી વધુના સેમિકન્ડક્ટર સંબંધિત પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે, ત્યારે આ નવી પહેલ ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રોજેક્ટથી ગુજરાત અને તાઈવાન વચ્ચેનો ઉદ્યોગિક સહયોગ વધુ મજબૂત બનશે અને રાજ્યમાં આધુનિક ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસશે, જેનાથી રોકાણકારોને આકર્ષણ વધશે અને સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે.
મણીયારી ઉચાપત કેસમાં મંત્રીને સજા:16 વર્ષ જૂના કેસમાં કોર્ટે પ્રોબેશનનો લાભ આપ્યો
પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચાણસ્મા તાલુકાના મણીયારી ગામની દૂધ મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ નારણદાસ પટેલને 16 વર્ષ જૂના ઉચાપત કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારી છે. જોકે, કોર્ટે તેમને સુધારાની તક આપવા માટે પ્રોબેશનનો લાભ આપવાનો આદેશ કર્યો છે. આ કેસ વર્ષ 2009-2010 દરમિયાન થયેલી કુલ રૂ. 2,50,871.42 (રૂ. 2,45,670.42 કાયમી અને રૂ. 5,201 હંગામી) ની ઉચાપત સંબંધિત છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે આરોપી જીવણલાલ પટેલ (ઉંમર 45)ને ભારતીય દંડ સંહિતાની કલમ 408 હેઠળ છ માસની સાદી કેદ અને રૂ. 500નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ એક માસની સજા ભોગવવાનો આદેશ પણ કરાયો હતો. જોકે, કોર્ટે આરોપીને જેલમાં મોકલવાને બદલે ત્રણ મહિનાના સમયગાળા માટે રૂ. 7,500ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીએ ઉચાપત કરેલી રકમ મંડળીને પરત કરી દીધી છે. ઉપરાંત, આરોપીની ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને પ્રોબેશનનો લાભ આપવાથી કાયદાનો હેતુ જળવાશે. કેસની જૂનાઈ અને સજાની જોગવાઈઓ જોતાં, આરોપી પ્રોબેશનનો લાભ મેળવવા પાત્ર છે. પાટણ કોર્ટે આરોપી માટે કેટલીક શરતો પણ લાદી છે. જેમાં પ્રોબેશન સમયગાળા દરમિયાન સુલેહ-શાંતિ જાળવવી, કોઈપણ ગેરકાનૂની કૃત્ય ન કરવું, રહેઠાણનું સરનામું જાહેર કરવું અને કોર્ટની પરવાનગી વિના તેમાં ફેરફાર ન કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ કેસમાં સરકારી વકીલ સી.એલ. દરજીએ દલીલો રજૂ કરી હતી. કેસની વિગતો અનુસાર, પાટણ જિલ્લા સહકારી રજિસ્ટ્રાર કચેરીના અધિકારી જયંતિભાઈ કોદરભાઈ પટેલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે મણીયારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ પટેલે 1 ઓક્ટોબર 2009 થી 31 માર્ચ 2010 દરમિયાન મંડળીના ગ્રાહકોના નાણાંની ઉચાપત કરીને વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરિયાદ 2010માં ચાણસ્મા પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 408 અને 477(એ) હેઠળ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના 16 વર્ષ બાદ અને કોર્ટમાં 14 વર્ષ, 2 માસ અને 15 દિવસની લાંબી સુનાવણી પછી આ કેસનો નિકાલ આવ્યો છે.
રાજકોટની AIIMSના પાંચ મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગયા મહિને એક અંતિમ વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા, તેને દુષ્પ્રેરણ આપવાના આરોપો લાગેલા છે, જેમાં મૃતક વિદ્યાર્થીએ સુસાઈડ નોટ પણ છોડી હતી. ગયા મહિને પાંચ MBBS વિદ્યાર્થીઓ પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ, નિર્વિઘ્નમ નૂર અને યુવરાજ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ક્લાસમેટ એવા રાજસ્થાનના રતન કુમાર મેઘવાલે 14 માર્ચે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આ પાંચેય વિરુદ્ધ BNS અને એટ્રોસિટી એક્ટ અધિનિયમ હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધાયો હતો. મેઘવાલે ત્રણ સુસાઈડ નોટ લખી હતીઆરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે FIR રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમના વતી રજૂઆત કરાઈ હતી કે, મેઘવાલે ત્રણ સુસાઈડ નોટ લખી હતી. જેમાંથી બે નોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંસ્થાના ફેકલ્ટી સભ્યોને મોકલવામાં આવી હતી, જ્યારે ત્રીજી નોટ રેલ્વે ટ્રેક પાસે તેના મૃતદેહ નજીક પડેલી બેગમાંથી મળી આવી હતી. આરોપી વિદ્યાર્થીઓએ તેની સાથે એક મહિનાથી વધુ સમયથી વાત કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે, મેઘવાલે 27 જાન્યુઆરીએ તેની પ્રથમ સુસાઈડ નોટ શેર કરી હતી અને બીજા દિવસે તે રાજકોટમાં રેલ્વે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. વધુ સુનાવણી 22 જૂન પર રાખવામાં આવીમૃતક વિદ્યાર્થીની મેડિકલ ટ્રીટમેન્ટનો ઉલ્લેખ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, તે સ્કિઝોફ્રેનિયાથી પીડાતો હતો અને તેની એક સુસાઈડ નોટમાં એક છોકરીના નામનો પણ ઉલ્લેખ હતો. પોલીસ સમક્ષ મેઘવાલના નિવેદનને પણ ટાંકવામાં આવ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે એક મહિનાથી આ પાંચ વિદ્યાર્થીઓ સાથે વાત કરી ન હતી. રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, FIRમાં પ્રથમ સુસાઈડ નોટનો ઉલ્લેખ છે, જેમાં મૃતક વિદ્યાર્થીએ લખ્યું હતું કે, એક દિવસ પહેલા આરોપી વિદ્યાર્થીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદ નોંધાવનાર મેઘવાલના પિતાને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 22 જૂન પર રાખવામાં આવી છે.
ઉન તિરુપતિ નગરમાં રહેતો 9 વર્ષીય વિદ્યાર્થી અયાન અંસારી સવારે ઘરેથી ઉત્સાહ સાથે પોતાની વાર્ષિક પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ એક રખડતા શ્વાને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને અયાનના પગના ભાગે ગંભીર રીતે બચકું ભરી લેતા તે રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. આ કમનસીબ ઘટનાને કારણે માસૂમ અયાન હોસ્પિટલના બિછાને પહોંચ્યો અને પોતે જેના માટે તૈયારી કરી હતી તે પરીક્ષા આપી શક્યો નહોતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં અયાનને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શ્વાનના હુમલાને કારણે બાળકના પગમાં ઊંડા જખમ થયા હોવાથી તબીબો દ્વારા તેને તાત્કાલિક ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવીઅયાનના પિતા મહમદ મુબલી અંસારીએ જણાવ્યું હતું કે, તેમને શાળાના શિક્ષક દ્વારા ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. દીકરાને ઇજા પહોંચતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તિરુપતિ નગરમાં રખડતા શ્વાનોનો ભારે આતંકસચિનના ઓમ પાટિયા અને તિરુપતિ નગર વિસ્તારમાં રહેતા સ્થાનિકો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અહીં રખડતા શ્વાનોની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે નાના બાળકોને એકલા બહાર મોકલતા પણ વાલીઓ ડરી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ પણ અનેકવાર શ્વાનોએ રાહદારીઓ પર હુમલા કર્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અયાન પર થયેલા હુમલા બાદ વિસ્તારના લોકોમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પિતાની હૈયા વરાળ: 'તંત્ર થોડું ધ્યાન આપે'અયાનના પિતા મહમદ અંસારીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે, મારો પુત્ર માત્ર 9 વર્ષનો છે. આજે તેની પરીક્ષા હતી અને તે મહેનત કરીને ઘરેથી નીકળ્યો હતો, પણ આ રખડતા કૂતરાને કારણે તે આજે પેપર આપી શક્યો નથી. હું તંત્રને એટલી જ વિનંતી કરવા માંગુ છું કે અમારા વિસ્તારમાં થોડું ધ્યાન આપે અને આ શ્વાનોના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવવા માટે જરૂરી પગલાં ભરે, જેથી અન્ય કોઈ બાળકનો અભ્યાસ કે જીવ જોખમમાં ન મુકાય.
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી અરજદાર વિકાસ.વિ.નાયરે એડવોકેટ અમિત પંચાલ દ્વારા AI અને ડીપફેકને લઈને જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં આજે ચીફ જજની બેન્ચ સમક્ષ વધુ સુનવણી યોજાઈ હતી. જેમાં કોર્ટના હુકમ અનુસાર રાજ્ય સરકારે કેટલાક સૂચનો અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે એફિડેવિટ ફાઇલ કરી હતી. મૂળ મુદ્દો એ જ હતો કે, પ્લેટફોર્મ પ્રોવાઇડર કંપનીઓને સૂચના આપવા છત્તા કન્ટેન્ટ દૂર કરતી નથી અને મોટાભાગે કહે છે કે, URL ઉપલબ્ધ નથી. બાળકો પણ AIથી બનેલા વીડિયો જુએ છે. લોકોને પણ સમજતા સમય લાગે છે કે, આ AI જનરેટેડ વીડિયો છે. 2026માં પ્લેટફોર્મ પ્રોવાઇડરને 107 કન્ટેન્ટ દૂર કરવા કહ્યું હતુંકેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તેઓએ સહયોગ પ્લેટફોર્મ બનાવ્યું છે, જ્યાં તમામ પ્લેટફોર્મ પ્રોવાઇડર જોડાયેલા છે. તેમને વાંધાજનક AI જનરેટેડ કન્ટેન્ટ ઉતારવા માટે જણાવવામાં આવે છે. કોર્ટે કહ્યું હતું કે પ્લેટફોર્મ દ્વારા આવા વિડિઓ કોઈ ઓથેન્ટિકેશન વગર મૂકી શકે નહીં, જો ઓથેન્ટિકેશનની વ્યવસ્થા ના હોય તો પ્લેટફોર્મ ઉપર આવતી ફરિયાદો ધ્યાને લેવી જોઈએ. રાજ્ય સરકાર વતી જણાવાયું હતું કે, જાન્યુઆરી, 2026માં પ્લેટફોર્મ પ્રોવાઇડરને 107 કન્ટેન્ટ દૂર કરવા કહ્યું છત્તા તે પ્લેટફોર્મ ઉપર છે. વિદેશમાંથી પણ ફરિયાદના ફોન આવે છે, લોકોની ઇમેજ ખરાબ થઈ રહી છે. ડીપ ફેક વીડિયોને તો ઓળખવો અઘરો છે. કેન્દ્રના ગૃહ વિભાગના જણાવે મુજબ નિયમો ચાલુ વર્ષે 2026 માં બન્યા છે. જેમાં ફેક વિડિઓ ઉતારવા પ્લેટફોર્મને સૂચનાઓ આપવામાં આવે છે. કોર્ટે પૂછ્યું હતું કે, જો પ્લેટફોર્મ પ્રોવાઇડર ના માને તો શું કરશો ? કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નિર્દેશ ઉપર ત્રણ કલાકમાં કન્ટેન્ટ હટાવવુ પડે, પહેલા આ સમય 36 કલાકનો હતો. કોર્ટે ફરી પૂછ્યું હતું કે જો તેઓ કન્ટેન્ટ ના ઉતારે તો શું? આરોપ સાબિત કરવા કોર્ટ ટ્રાયલની જરૂર પડે એમાં ટાઈમ જોઈએસરકારી વકીલે કહ્યું હતું કે, IT એક્ટ 66C, 66D અને 66E અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, તેના પ્રાવધાન તો ખોટું કન્ટેન્ટ ચઢાવનાર સામે છે પણ પ્લેટફોર્મ માટે શું? તમે શું કરી શકો? તમે નિર્દેશ આપી શકો પણ નિર્દેશ ન માને તો શું? કેન્દ્રએ કહ્યું હતું કે, રાજ્ય વિરુદ્ધના ગુન્હાઓ માટે સખત કાર્યવાહીના પ્રાવધાન લાગુ છે પણ પ્રાઇવેટ ફરિયાદ માટે નહીં. જો પ્લેટફોર્મ પ્રોવાઇડર AI જનરેટેડ વાંધાજનક કન્ટેન્ટ જાતે દૂર ન કરે અથવા સૂચના બાદ ભી દૂર ના કરે તો સહ આરોપી બને છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે આરોપ સાબિત કરવા કોર્ટ ટ્રાયલની જરૂર પડે એમાં ટાઈમ જોઈએ, એના માટેનો સમય નથી. એક હજાર ફરિયાદમાંથી માત્ર 14 ફરિયાદનો જ પ્લેટફોર્મ પ્રોવાઇડરે જવાબ આપ્યો હતોકોર્ટે કહ્યું હતું કે, સૂચના આપ્યા બાદ ત્રણ કલાકનો સમય કન્ટેન્ટ ઉતારવા માટે વધુ કહેવાય. તુરંત થતી હાનિ કેવી રીતે અટકાવી શકાય? તમે જાતે પ્લેટફોર્મ ઉપરથી કન્ટેન્ટ ઉતારી શકો તેમ નથી. તુરંતના પગલા લેવા માટે શું પ્રાવધાન છે? રાજ્ય સરકાર વતી કહેવાયું હતું કે, એક હજાર ફરિયાદમાંથી માત્ર 14 ફરિયાદનો જ પ્લેટફોર્મ પ્રોવાઇડરે જવાબ આપ્યો હતો. વળી X સહયોગ પોર્ટલ સાથે સંકળાયેલ નથી. આથી એક યોગ્ય મિકેનિઝમ બનાવવાની જરૂર છે. સોશિયલ મીડિયા જ્યારે IT મંત્રાલય અંતર્ગત આવે છે ત્યારે હવે કોર્ટ પ્લેટફોર્મ પ્રોવાઇડરને નિયમો પાળવા હુકમ કરી શકે છે. ગત સુનવણીમાં રજૂઆત કરાઈ હતી કે બંધારણીય હોદ્દેદારોના પણ મોટા પાયે AI જનરેટેડ અને ડિપફેક વીડિયો તેમજ ફોટા બની રહ્યા છે. તેનાથી પદ અને પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે અને લોકોનો વિશ્વાસ ઘટે છે. ત્યારે IT એક્ટ અંતર્ગત રાજ્ય સરકારે તેની ઉપર નિયમો બનાવવા જરૂરી છે. ઓફિસિયલ ગેઝેટ અને નોટોફિકેશન દ્વારા આવા નિયમો બની શકે છે. IT એક્ટ પબ્લિક એક્સેસ બ્લોક કરવા માટેની સત્તા આપેએડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, AI જનરેટેડ ખોટા વીડિયોને દૂર કરવા ઓથોરિટીએ મીડીયમને જણાવવું પડે છે. વળી આવા નકલી ફોટા અને વીડિયો ખોટા IDથી ચઢાવ્યા હોય તો તેને ઓળખી કાઢવો મુશ્કેલ બને છે. IT એક્ટની કલમ 69A આ બાબતની જોગવાઈ કરે છે. જે પબ્લિક એક્સેસ બ્લોક કરવા માટેની સત્તા આપે છે. સામાન્ય રીતે દેશની સલામતી, આંતરરાષ્ટ્રીય મિત્રતા, પબ્લિક ઓર્ડર વગેરેને લઈને પ્લેટફોર્મ પ્રોવાઇડરને કન્ટેન્ટ બ્લોક કરવા સૂચના આપી શકાય છે. IT એક્ટ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર તેની ઉપર નિયમો બનાવી શકે છે. ફેક કન્ટેન્ટને દૂર કરવામાં પ્લેટફોર્મ પ્રોવાઈડર 36 કલાકનો સમય લે છેઅરજદારને રાજ્યના સાયબર ડિપાર્ટમેન્ટ તરફથી ઇમેઇલ મળ્યો હતો કે, જો તેઓને આવી કોઈ ફરિયાદ મળે તો તેઓ પગલા લે છે. કોર્ટે કહ્યું હતું કે, નકલી ફોટો અને વીડિયો દ્વારા વ્યક્તિને ખરાબ ચીતરવામાં આવે છે. બાળકો અને માનવતા વિરુદ્ધ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થતા થયા છે. લોકોની ઓળખી ચોરી કરવામાં આવે છે, તેમની ગોપનીયતાનો ભંગ કરવામાં આવે છે. તેમજ અશ્લીલ અને સેક્સ્યુઅલ કન્ટેન્ટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર ચઢાવવામાં આવે છે. પરંતુ તેને દૂર કરવાની સૂચના આપતા પ્લેટફોર્મ પ્રોવાઇડર 36 કલાકનો સમય લે છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, AI અને ડીપફેક મામલે પ્લેટફોર્મ પ્રોવાઇડરને લઈને ચીન કડક કાયદાઓ લાવ્યું છે. જો પ્લેટફોર્મ પ્રોવાઇડરને કન્ટેન્ટ દૂર કરવા રજૂઆત કરવામાં આવે તો તેઓ જવાબ નથી આપતા. હાઇકોર્ટે કહ્યું હતું કે, પ્લેટફોર્મ પ્રોવાઇડર સમક્ષ વાંધો ઉઠાવવાથી તેઓ જવાબ આપે છે અથવા નથી પણ આપતા કારણકે તે વિવાદાસ્પદ પોસ્ટ ઉપર સતત લાઈક્સ મળતી હોય છે. જેથી તેને તેઓ પોતાના પ્લેટફોર્મ ઉપરથી નીચે નથી ઉતારતા. ગુજરાત હાઇકોર્ટ લાઈવ સ્ટ્રીમિંગ રૂલમાં કોપીરાઇટ હોવા છતાં તેના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થાય છે, જે અંગે પ્લેટફોર્મને જાણ કરવા છતાં તે વીડિયોને દૂર કરાતા નથી. વળી આવા કેટલાય નકલી વીડિયો અને ફોટા બનતા રહે છે, જેને રોકવા ખૂબ જ અઘરા છે. તેને રિયલ ટાઈમ જ પ્લેટફોર્મ પરથી ઉતારવા પડે તો જ તેને નાથી શકાય તેમ છે. અરજદારે જણાવ્યું હતું કે, AIથી તૈયાર કરાયેલું ટ્રાયલ કોર્ટનું એવું જજમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યું હતું, જે હકીકતમાં અસ્તિત્વ જ ધરાવતું નહોતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીમાં આજે બપોરે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. કંપનીના મટીરીયલ ગેટ પાસે આવેલી સિક્યોરિટી કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, કંપનીની આંતરિક ફાયર ટીમની સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આજે બપોરે 4:00 વાગ્યાના સુમારે મટીરીયલ ગેટ પર આવેલી FRP શીટની બનેલી સિક્યોરિટી કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીની આંતરિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્વરિત કામગીરીથી નુકસાન અટક્યુંફાયર ટીમે સતર્કતા દાખવી પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવી લીધો હતો. સિક્યોરિટી કેબિન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ ફાયર ફાયટરોની કામગીરીને કારણે આગ અન્ય ઔદ્યોગિક એકમો કે સંવેદનશીલ વિસ્તારો સુધી પ્રસરી શકી ન હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને અટકેલું કામકાજ પુનઃ શરૂ કરાયું હતું. તપાસના ચક્રો ગતિમાનપ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા અતિશય ગરમી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે વહીવટી તંત્ર અને કંપની દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવા અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
વઢવાણમાં 2 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અપાઈ:રાજકોટ નાગરિક બેંક દ્વારા 'પરીક્ષા પર્વ' પહેલ
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આશરે 2000 વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલથી સુરેન્દ્રનગર જિલ્લામાં 'પરીક્ષા પર્વ' એક અનોખું 'પ્રકાશ પર્વ' બની ગયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની સુરેન્દ્રનગર શાખા દ્વારા પરીક્ષાના મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન આ સરાહનીય કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શાખા વિકાસ સમિતિના માર્ગદર્શન હેઠળ અને શાખા અધિકારી શ્રી વિક્રમસિંહ ડોડીયાના આયોજનથી આ પહેલ સફળ બની. આ પહેલ અંતર્ગત વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપર અને જોરાવરનગર વિસ્તારની વિવિધ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી કીટનું વિતરણ કરાયું. આ કીટમાં વિદ્યાર્થીઓને જરૂરી સ્ટેશનરી સામગ્રી આપવામાં આવી હતી, જે તેમને પરીક્ષા દરમિયાન મદદરૂપ થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાને તણાવમુક્ત તથા ઉત્સવમય બનાવવાનો છે. સ્થાનિક સ્તરે આ પહેલને ખૂબ સરાહના મળી રહી છે અને તેને શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અસવાર દશરથસિંહે રાજકોટ નાગરિક બેંક દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની પ્રશંસા કરી હતી.
વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. વોર્ડ-3 અને વોર્ડ-6માં ભાજપે મુસ્લિમ પુરુષ અને મુસ્લિમ મહિલાને ટિકિટ આપી છે. વોર્ડ-3માં સમસુઉદ્દીન નુરૂદ્દીન ચૌધરી અને વોર્ડ-6માં તસ્લીમ સુલતાન બાબુલને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા વાપીમાં પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા ઝીણવટભર્યું મંથન કરવામાં આવ્યાં બાદ આ સત્તાવાર યાદી આવતીકાલે જાહેર કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર ભાજપ દ્વારા ઉમેદવારો સાથે બેઠક યોજાઈ:ચૂંટણીલક્ષી આયોજન અને માર્ગદર્શન અપાયું
આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ્' ખાતે ભારતીય જનતા પાર્ટીના જાહેર થયેલા ઉમેદવારો સાથે એક આયોજનબદ્ધ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને ઉમેદવારો વચ્ચે ચૂંટણીલક્ષી તૈયારીઓ, પ્રચારની દિશા, બૂથ સ્તરની કામગીરી અને મતદારો સુધી અસરકારક રીતે પહોંચવા અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યમાં સંકલન અને સમયબદ્ધ આયોજન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ બેઠક ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સુરેન્દ્રનગર મહાનગર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ, આગેવાન રાકેશભાઈ ખાંડલા, વાય.બી. રાણા, ભાસ્કરભાઈ દવે, દીપસંગ ડોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત આગેવાનો દ્વારા પોતાના વિચારો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવા માટે મહાનગરપાલિકાના ઉમેદવારોને સૂચનો આપવામાં આવ્યા. ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાનું પાલન, મતદારો સાથે સંવાદ જાળવવો અને સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ અપાઈ. બેઠક દરમિયાન કોંગ્રેસના કેટલાક પ્રદેશ સ્તરના નેતાઓ ભાજપમાં જોડાયા હોવાની માહિતી પણ આપવામાં આવી, જેના કારણે સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં હલચલ જોવા મળી રહી છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્તરે સુમેળ સાધી આયોજનબદ્ધ રીતે ચૂંટણી કામગીરી આગળ વધારવાનો રહ્યો હતો.
બોટાદ, 10 એપ્રિલ 2026: વિશ્વ હોમિયોપેથીક દિવસ અને પોષણ પખવાડિયા નિમિત્તે બોટાદના શ્રી વરિયાદેવી મંદિર, ચકલા ગેટ ખાતે સર્વરોગ હોમિયોપેથીક-આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નિયામક આયુષ કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ, સામાજિક અગ્રણી મયૂરસિંહ જશુભા ભાટીના સહયોગથી યોજાયો હતો.કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય હોમિયોપેથીક પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. આ પ્રસંગે પોષણયુક્ત આહાર, હોમિયોપેથી અને આયુર્વેદ પદ્ધતિ તેમજ તેની ઉપયોગીતા વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ હોમિયોપેથી પ્રદર્શનનો લાભ લીધો હતો. કેમ્પમાં પોષણ પત્રિકા, યોગ બુક અને કેલેન્ડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને વરિયાદેવી મંદિર ટેમ્પલ બોર્ડના તમામ ટ્રસ્ટીઓ, પંકજભાઈ ઝાંઝરુકિયા, ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા, દિલીપભાઈ ભલગામીયા, પ્રકાશભાઈ ભીમાણી અને અન્ય અગ્રણી મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.આ નિઃશુલ્ક સારવાર કેમ્પમાં કુલ 715 વ્યક્તિઓએ લાભ લીધો હતો. જેમાં હોમિયોપેથીક-આયુર્વેદ સારવારના 290 લાભાર્થીઓ, યોગના 75 લાભાર્થીઓ, પોષણ માર્ગદર્શનના 120 લાભાર્થીઓ અને ચાર્ટ પ્રદર્શનના 230 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે પાટીદાર બહુલ વિસ્તારોના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે. પાટીદાર સમાજના લોકપ્રિય યુવા નેતા અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત દાવેદાર ગણાતા ધાર્મિક માલવીયાએ આ વખતે ચૂંટણી ન લડવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. 1લી એપ્રિલે વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી ફોર્મ ભરીને શક્તિપ્રદર્શન કર્યા બાદ, અચાનક 8મી એપ્રિલે લેવાયેલા આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, ભાજપના સૂત્રો અને સાથી નેતાઓના મતે આ એક સુનિયોજિત રણનીતિનો ભાગ છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કેમ પાછી પાની?ધાર્મિક માલવીયાએ પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. તેમણે નિરીક્ષકો સમક્ષ સેન્સ પ્રક્રિયામાં પણ ભાગ લીધો હતો, જે દર્શાવતું હતું કે તેઓ મેદાનમાં ઉતરવા માટે મક્કમ છે. પરંતુ, પાર્ટીના હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ સ્થિતિ બદલાઈ છે. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, ધાર્મિક માલવીયાને માત્ર એક વોર્ડ પૂરતા સીમિત રાખવાને બદલે સમગ્ર સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં સંગઠનને મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ કારણોસર જ તેમણે 8 એપ્રિલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ઉમેદવારી પડતી મૂકી છે. વિધાનસભાની ચૂંટણી અને મોટી જવાબદારીના સંકેતભાજપના મોવડી મંડળ દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે ધાર્મિક માલવીયાને આગામી સમયમાં કોઈ મોટી સંગઠનાત્મક અથવા રાજકીય જવાબદારી સોંપવામાં આવી શકે છે. ખાસ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી તેમને અત્યારથી જ મોટા ફલક પર તૈયાર કરવા માંગે છે. સુરતના પાટીદાર ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપનું 'કમળ' વધુ જોરથી ખીલે તે માટે ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયાની જોડીને મેદાનમાં ઉતારવામાં આવી છે. આ બંને યુવા નેતાઓ હવે કોઈ એક વોર્ડમાં અટવાઈ રહેવાને બદલે શહેરના તમામ પ્રભાવી વોર્ડમાં પ્રચારની કમાન સંભાળશે. અલ્પેશ કથીરિયાએ વ્યૂહરચના પરથી ઊંચક્યો પડદોધાર્મિક માલવીયાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ધાર્મિકભાઈએ ગત અઠવાડિયે જ પ્રદેશના ઉચ્ચ નેતૃત્વ સમક્ષ પોતાની અનિચ્છા વ્યક્ત કરી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિગત ચૂંટણી જીતવા કરતા પાર્ટીને મહત્તમ બેઠકો જીતાડવાનો છે. હાલમાં સુરતના 8થી 10 વોર્ડ એવા છે, જ્યાં પાટીદાર અને સૌરાષ્ટ્રવાસી 18 આલમનો પ્રભાવ છે. આ તમામ વિસ્તારોમાં જઈને ઉમેદવારોને મજબૂત કરવા અને સુરત શહેરમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ધાર્મિકભાઈએ આ ત્યાગ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, સેન્સ પ્રક્રિયા એ લોકશાહીનો ભાગ છે પણ પાર્ટીનું હિત સર્વોપરી છે. બૂથ લેવલનું આયોજન અને વિપક્ષ પર પ્રહારભાજપે આ વખતે ચૂંટણીમાં 'બૂથ જીતવા'નો લક્ષ્યાંક રાખ્યો છે. અલ્પેશ કથીરિયાના મતે આ કોઈ વ્યક્તિગત રણનીતિ નથી પણ ભારતીય જનતા પાર્ટીની એક સુવ્યવસ્થિત ફોજનું કામ છે. કાર્યકર્તાઓની મોટી ટીમ દરેક ઘર સુધી પહોંચશે. વોર્ડમાં થયેલા વિકાસકામોની યાદી લોકો સમક્ષ મુકશે અને આગામી પાંચ વર્ષના સંકલ્પો વિશે માહિતગાર કરશે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી વિપક્ષ માત્ર મતો મેળવવા માટે જનતાનો ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ કામગીરીના નામે શૂન્ય છે. લોકો હવે ગુમરાહ થવા માંગતા નથી અને એટલે જ ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. કેસરીયો લહેરાવવા માટે 'ટીમ વર્ક' પર ભારધાર્મિક માલવીયાનું ચૂંટણી મેદાનમાંથી ખસી જવું એ હકીકતમાં ભાજપની આક્રમક રણનીતિનો પુરાવો છે. પાર્ટી ઈચ્છે છે કે, લોકપ્રિય ચહેરાઓ માત્ર પોતાની બેઠક બચાવવામાં સમય ન બગાડે પરંતુ, આસપાસની અન્ય બેઠકો પર પણ જીત સુનિશ્ચિત કરે. ધાર્મિક માલવીયા હવે સ્ટાર પ્રચારક તરીકે ભૂમિકા ભજવશે, જેનો સીધો ફાયદો સુરતના અન્ય ઉમેદવારોને મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં વિપક્ષ મજબૂત દેખાય છે ત્યાં ધાર્મિકની લોકપ્રિયતા અને સંગઠન શક્તિ ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે તેમ છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી મિલન પોઇન્ટ રોડ પર આજે ખુલ્લામાં રાખેલા વેસ્ટેજના જથ્થામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ મટીરિયલને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યાઆગની આ ઘટનાને પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં ફાળ પડી હતી. વેસ્ટેજ મટીરિયલ હોવાથી જ્વાળાઓ ખૂબ જ ઝડપથી પ્રસરવા લાગી હતી. સુરત ફાયર વિભાગના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથીસદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગ ઓલવાયા બાદ ફાયર ફાઈટરો દ્વારા હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે અંગે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉનાળાના પ્રારંભે વધતા જતા આગના બનાવોને જોતા વેસ્ટેજ અને જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ બાબતે વધુ તકેદારી રાખવી જરૂરી બની છે.
બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડે ભીમદાડ જિલ્લા પંચાયત બેઠક પર પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. તેમણે આ બેઠક પર વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઢડા મામલતદાર કચેરી ખાતે પરસોત્તમભાઈ રાઠોડે ભીમદાડ જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારોએ પણ તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ પ્રસંગે બોટાદ AAP પ્રમુખ અને ભીમદાડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ભીમદાડ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે સારો માહોલ છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકો ભાજપથી કંટાળી ગયા છે. તેથી, વિસ્તારના મતદારો, યુવાનો અને શિક્ષિત લોકો ચોક્કસપણે AAP ને પસંદ કરશે, જેના કારણે તેમની જીત નિશ્ચિત છે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસ પર ઉમેદવારો જાહેર કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો છે. AAP દ્વારા રાજ્યભરની 5500થી વધુ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષોમાં આંતરિક ખેંચતાણ અને યોગ્ય ઉમેદવારોના અભાવે હજુ સુધી યાદી જાહેર થઈ શકી નથી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં વિલંબ થતા રાજકીય ગરમાવો વધ્યો છે. AAPના ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્તઆમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ચૂંટણીની જાહેરાત થયાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ હજુ સુધી પોતાના પત્તા ખોલી શક્યા નથી. AAPના ઉમેદવારો હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે, જ્યારે ભાજપના કાર્યકર્તાઓ લાંબા સમયથી યાદીની રાહ જોઈ રહ્યા છે. સોરઠીયાએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીની સક્રિયતાના કારણે બંને મુખ્ય પક્ષો પર ભારે દબાણ ઊભું થયું છે. શાસક પક્ષમાં ગંભીર આંતરિક મતભેદોભાજપ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે, શાસક પક્ષમાં ગંભીર આંતરિક મતભેદો પ્રવર્તી રહ્યા છે. મોટા નેતાઓ પોતાના માનીતા માણસોને ટિકિટ અપાવવા માટે અંદરો અંદર ખેંચતાણ કરી રહ્યા હોવાથી ઉમેદવારોના નામ નક્કી કરવામાં અવરોધ આવી રહ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું કે પાર્ટી પાસે ચૂંટણી લડવા માટે યોગ્ય ઉમેદવારોની અછત હોવાથી તેઓ યાદી જાહેર કરવામાં પાછળ પડ્યા છે.
મહેસાણાના બેચરાજીના મોટપ ગામે તળાવના ખોદકામની માપણી કરવા ગયેલા ગામના ઉપસરપંચ અને અન્ય ગ્રામજનો પર હુમલાનો પ્રયાસ કરી બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોઢેરા પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર સહિત અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તળાવના ખોદકામની માપણી સમયે હુમલોમોટપ ગામના ઉપસરપંચ સુરેશ પટેલ ગત સાંજે ગામના અન્ય સાક્ષીઓ સાથે સર્વે નંબર 776માં આવેલા ગામ તળાવના ખોદકામ અને માટીકામની માપણી કરવા માટે ગયા હતા. આ કામનો કોન્ટ્રાક્ટ કાલરીના ધરમસિંહ ઉર્ફે ધમો સોલંકી મળેલો હતો. માપણી ચાલી રહી હતી તે દરમિયાન કોન્ટ્રાક્ટર ધરમસિંહ સોલંકી તેનો મિત્ર ગોસ્વામી અને અન્ય 8થી 10 માણસો બે કાળા રંગની સ્કોર્પિયો ગાડીઓ લઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીઆરોપીઓએ ઉપસરપંચનો કોલર પકડી ઝપાઝપી કરી હતી અને ખોદકામના ફોટા પાડીને વોટ્સએપ ગ્રુપમાં કેમ મૂક્યા છે? તેમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. જ્યારે અન્ય ગ્રામજનો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તમામ સામે બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં આરોપી ધરમસિંહ સોલંકીએ પોતાની ગાડીમાંથી કુહાડી કાઢી ઉપસરપંચ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાજર રહેલા અન્ય લોકોએ વચ્ચે પડી બચાવ કર્યો હતો. જતા-જતા આરોપીઓએ જાહેરમાં એવી ધમકી પણ આપી હતી કે હજુ બીજું તળાવ પણ ખોદવાનું છે.જો ત્યાં આવ્યા છો તો જીવતા પાછા નહીં જાઓ. આ ઘટના બાદ ઉપસરપંચ સહિતના ગ્રામજનોએ એકઠા થઈ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે રણનીતિના પ્રથમ તબક્કાની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલા મંથન બાદ ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત તેમજ કલોલ અને દહેગામ નગરપાલિકા માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપ વિકાસની રાજનીતિની સાથે જ્ઞાતિગત મજબૂતી સાથે મેદાનમાં ઉતર્યું છે. ભાજપે ગ્રામીણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યોગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 27 બેઠકો માટે જાહેર કરાયેલા નામોમાં ઠાકોર અને પટેલ સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. અડાલજ બેઠક પરથી ચેતનાબેન ઠાકોર અને લોદરાથી કલ્પેશ પટેલ જેવા નામો સાથે ભાજપે ગ્રામીણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને સ્ત્રી અનામત બેઠકો પર પક્ષે નવા અને સક્રિય મહિલા ચહેરાઓને તક આપીને મહિલા સશક્તિકરણનો કાર્ડ પણ ખેલ્યો છે. ભાજપ અહીં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથીજ્યારે તાલુકા પંચાયતોના સ્તરે જોઈએ તો કલોલની 22, માણસાની 26 અને દહેગામની 28 બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક સ્તરે પક્ષનો પ્રભાવ જાળવી રાખવા પર ભાર મૂકાયો છે. માણસામાં જે રીતે ચૌધરી અને ચાવડા જ્ઞાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તે જોતા ભાજપ અહીં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. એવી જ રીતે દહેગામ તાલુકા પંચાયતમાં ઝાલા અને ચૌહાણ ઉમેદવારોની મોટી સંખ્યા પક્ષની જૂની અને ભરોસાપાત્ર રણનીતિનો હિસ્સો હોવાનું જણાય છે. વિપક્ષોના મતોમાં ગાબડું પાડવાની વ્યૂહરચના અપનાવીએ જ રીતે શહેરી વિસ્તારોની વાત કરીએ તો કલોલ નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો અને દહેગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કલોલમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ પક્ષે ઉમેદવારો ઉભા રાખીને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. જેની ઝલક વોર્ડ નંબર 2માં જોવા મળે છે. દહેગામ નગરપાલિકામાં પણ લઘુમતી સમુદાયના ઉમેદવારોને સ્થાન આપીને ભાજપે વિપક્ષોના મતોમાં ગાબડું પાડવાની વ્યૂહરચના અપનાવી છે. ભાજપે આ વખતે કોઈ મોટા પ્રયોગો કરવાને બદલે પાયાના કાર્યકરો અને જ્ઞાતિના પ્રભાવશાળી ચહેરાઓ પર જ વિશ્વાસ મૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આ મજબૂત ફિલ્ડિંગ સામે કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારે છે અને જનતા કોના પર કળશ ઢોળે છે.
સુરેન્દ્રનગર યંગ્સ ક્લબમાં આગ:મલાર ચોક નજીક ક્લબને મોટું નુકસાન, ફાયરે કાબૂ મેળવ્યો
સુરેન્દ્રનગરના મલાર ચોક નજીક આવેલી યંગ્સ ક્લબના કમ્પાઉન્ડમાં આજે સાંજે આગ લાગી હતી. આ ઘટનામાં ક્લબને મોટું નુકસાન થયું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગી તે સમયે ક્લબમાં ટેબલ ટેનિસ રમી રહેલા ખેલાડીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે ક્લબ બિલ્ડિંગની બારીઓ પણ સળગી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ક્લબના સભ્યોએ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા, ફાયર વિભાગની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી હતી અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. યંગ્સ ક્લબમાં પાંચથી વધુ ટેબલ ટેનિસ ટેબલ આવેલા છે, જ્યાં 25થી વધુ ખેલાડીઓ નિયમિત રમવા માટે આવે છે.
મુંબઈમાં રહેતા પતિ અને સાસરિયાંઓ દ્વારા ગાંધીનગરના સેક્ટર-22માં પિયરમાં 36 વર્ષીય પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તરછોડી દેવામાં આવતા મહિલા પોલીસ મથકે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પતિએ ચારિત્ર્ય પર શંકા કરી માનસિક ત્રાસ આપવાનું વધારી દીધુંહાલમાં ગાંધીનગર પિયરમાં રહેતી પરિણીતાએ પતિ અજીત પરદેશી, સાસુ અને સસરા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્ન 25 જાન્યુઆરી 2014ના રોજ હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતનું એક અઠવાડિયું સુખદ રહ્યું હતું પરંતુ, ત્યારબાદ પતિ અજીત દ્વારા નાની-નાની બાબતોમાં બીભત્સ ગાળો બોલી અપમાનિત કરવાનું શરૂ કરાયું હતું. બાદમાં ફેબ્રુઆરી, 2014માં પરિણીતા મુંબઈ ખાતે સાસરે રહેવા ગઈ ત્યારે પતિએ તેના ચારિત્ર્ય પર શંકા કરી મોબાઈલ ફોન ચેક કરવા જેવી બાબતોથી માનસિક ત્રાસ આપવાનું વધારી દીધું હતું. પતિ અને સાસરિયાઓએ ભેગા મળીને પરિણીતા સાથે મારઝૂડ પણ કરીઆ અંગે જ્યારે પોતાના પર થતા અત્યાચાર અંગે સાસુ-સસરાને જાણ કરી ત્યારે મદદ મળવાને બદલે તેમને વધુ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. એ વખતે સાસુએ કહ્યું હતું કે, આ ઘરમાં રહેવું હોય તો તારો પતિ કહે તેટલું કરવાનું અને તે જે કહે તે સહન કરવાનું. આ દરમિયાન પતિ અને સાસરિયાઓએ ભેગા મળીને પરિણીતા સાથે મારઝૂડ પણ કરી હતી. બાદમાં દંપતી જ્યારે કેનેડા સ્થાયી થયું હતું ત્યારે પણ પતિની ક્રૂરતામાં કોઈ ઘટાડો થયો નહોતો. આ દરમિયાન તેણીને જાણ થઈ હતી કે, પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે અને તે તેને આર્થિક મદદ પણ કરે છે. હું બાળકોને જબરદસ્તીથી લઈ જઈશ, તને જાનથી મારી નાખીશઆ બાબતે માથાકૂટ થતા પતિએ ગર્ભિત ધમકી આપેલી કે, જો તું કોઈને કહીશ તો હું તારા નામની સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લઈશ. જેના લીધે પરિણીતાએ ચુપકીદી સાધી લીધી હતી. જોકે પતિ અને સાસરિયાંનો ત્રાસ અસહ્ય બનતા ખંજનબેન છેલ્લા 10 માસથી તેમના બે બાળકો સાથે ગાંધીનગર પિયરમાં રહે છે. ત્યારે જાન્યુઆરી 2026માં પતિએ ફોન પર ધમકી આપી હતી કે, હું બાળકોને જબરદસ્તીથી લઈ જઈશ અને જો તું બાળકો નહીં આપે તો તને જાનથી મારી નાખીશ. આખરે કંટાળીને પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં ગરમીનું જોર વધશે. આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીમાં વધારો થશે. દરિયા કિનારાના જિલ્લાઓમાં બફારો રહેશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન વધશે. ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશેહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે. રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકવાને કારણે અકળામણ અનુભવાશે. જોકે આજથી જ રાજ્યમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો અતિશય વધી ગયો છે.
ગુજરાતની મહાનગરપાલિકા નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની આજે 10 એપ્રિલના રોજ જાહેરાત કરવામાં આવી રહી છે. સવારથી અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાતની રાહ જોવાઇ રહી હતી ત્યારે બપોરે 2:30 વાગ્યા બાદ અમદાવાદ મહાનગપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. દેવાંગ દાણીને ટેલિફોનિક જાણ કરી દેવાઈ AMC સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. એટલે કે દરેક ઉમેદવારોને સૌથી પહેલા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે.જો કે ભાજપની સત્તાવાર યાદી સાંજે જાહેર કરવામાં આવશે. જોધપુર, બોડકદેવ વોર્ડના ઉમેદવારોને ફોન આવ્યા આજે બપોરે 2.30 વાગ્યા બાદ વેજલપુર વિધાનસભામાં આવતા તમામ વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. સૌપ્રથમ જોધપુર વોર્ડ, બોડકદેવ વોર્ડ, સરખેજ વોર્ડ, વેજલપુર વોર્ડના ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરી દેવામાં આવી છે. AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને પણ બોડકદેવમાંથી ઉમેદવાર તરીકે ફોન કરીને જાણ કરવામાં આવી છે. જોધપુર વોર્ડમાંથી ભારતીબેન ગોહિલને ઉમેદવારી માટેનો ફોન આવી ગયો છે. જ્યારે સરખેજ વોર્ડમાં એક પણ કોર્પોરેટરને ફરીથી ટિકિટ મળી શકે તેમ નથી. જ્યારે વેજલપુર બોર્ડમાં રાજેશ ઠાકોર અને પારુલ દવેને ફોન કરીને ઉમેદવાર તરીકેની જાણ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરીયાએ ભાજપ સામે બગાવત કરી વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તાધારી પક્ષ દ્વારા ટિકિટ ન મળતા તેમણે આ આક્રમક નિર્ણય લીધો હોવાનું મનાય છે. ટિકિટ ન મળતા પક્ષ સામે મોરચો મળતી વિગતો મુજબ, લલિત કામરીયાએ ભાજપ પાસે ટિકિટની માંગણી કરી હતી. જોકે, પક્ષે તેમને ટિકિટ ન આપતા તેમણે સ્વતંત્ર રીતે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેઓ વર્ષ 2013થી 2015 દરમિયાન મોરબી નગરપાલિકાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમની આ ઉમેદવારીથી સ્થાનિક સ્તરે ભાજપના વોટ બેંકમાં ગાબડું પડવાની ભીતિ સેવાઈ રહી છે. વોર્ડ નંબર 8માં જંગ જામશે વોર્ડ નંબર 8 માં લલિત કામરીયાની વ્યક્તિગત પકડ મજબૂત માનવામાં આવે છે. પૂર્વ પ્રમુખ તરીકેના તેમના અનુભવ અને લોકસંપર્કને જોતા આ બેઠક પરની ચૂંટણી હવે ત્રિપાંખિયા જંગ જેવી રસપ્રદ બની રહેશે. તેમની આ બગાવત માત્ર ભાજપ જ નહીં, પરંતુ અન્ય વિરોધ પક્ષોના ગણિત પણ બગાડી શકે છે. ઉમેદવાર: લલિત કામરીયા (પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા) વિસ્તાર: વોર્ડ નંબર 8 અગાઉનો કાર્યકાળ: 2013 થી 2015 સ્થિતિ: ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી આ અપક્ષ ઉમેદવારીના પગલે હવે મોરબીના રાજકારણમાં મોટા ઉલટફેર થવાના સંકેતો મળી રહ્યા છે. પક્ષના નિષ્ઠાવાન ગણાતા કાર્યકરોમાં પણ આ મામલે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા પોલીસ એક્શન મોડમાં:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુનેગારોને કડક ચેતવણી આપી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પોલીસ અધિક્ષકે ગુનેગારોને કડક કાનૂની ચેતવણી આપી છે. આ ચેતવણી કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શરીર સંબંધી ગુનેગારો, લિસ્ટેડ બુટલેગરો, જુગારીઓ, MCR (મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સ) અને હિસ્ટ્રીશીટરોને પાઠવવામાં આવી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ માટે ગુનેગારોને કઠોર કાયદાકીય ભાષામાં સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત DIA ભવન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી (દહેજ ઈકાઈ) દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના ઈશ્વર પટેલ તેમજ અખિલ ભારતીય પૂર્વ પ્રમુખ અને ગુજરાત-રાજસ્થાનના પ્રભારી બળદેવ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજી પરમાર, DIA પ્રમુખ ડો. સુનિલ ભટ્ટ, બળદેવ આહિર, દહેજ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મહેન્દ્રસિંહ રણા અને દીપક પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારો (MSME) ને નડતી વિવિધ સમસ્યાઓ અને તેના સંભવિત ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ ઉદ્યોગકારોને આધુનિક ટેકનોલોજી અપનાવવા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મંચ ઉદ્યોગકારો માટે પરસ્પર વિચારોના આદાન-પ્રદાન અને સહયોગ વધારવા માટે મહત્વનું માધ્યમ બન્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સહભાગીઓએ ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
પંચમહાલ જિલ્લામાં રાજકીય ગરમાવા વચ્ચે ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના હાઈકમાન્ડ તરફથી સૂચના મળ્યા બાદ આ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. આ 8 બેઠકોમાં નદીસર, ટીંબા, રતનપુર, મોટીકાંટડી, કરસાણા, જૂની ધરી, ધાણિત્રા અને કાકણપુરનો સમાવેશ થાય છે. પક્ષ તરફથી નામો નક્કી થયા બાદ, તમામ ઉમેદવારોએ ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે પોતાની દાવેદારી રજૂ કરી હતી.
13 વર્ષથી નાસતો ફરતો આરોપી કચ્છમાંથી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે રીઢા આરોપીને દબોચી લીધો
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ મહાનિર્દેશક દ્વારા આયોજિત રાજ્યવ્યાપી 'મેગા ડ્રાઈવ' અંતર્ગત પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. પેરોલ ફ્લો સ્ક્વોડે 13 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા આરોપીને કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી જેસાભાઈ ઉર્ફે જયેશભાઈ રાધાભાઈ રબારી વિરુદ્ધ વર્ષ 2013માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી (IPC કલમ 406, 420)નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે મુખ્ય આરોપી હતો અને છેલ્લા 13 વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. પંચમહાલ રેન્જ IG વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના મુજબ, પેરોલ ફ્લો સ્ક્વોડના PSI બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ASI હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સચોટ માહિતી મળી હતી કે આરોપી હાલ કચ્છના અંજાર તાલુકાના ભાદરોઈ ગામે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી જેસાભાઈ રબારીને કસ્ટડીમાં લીધો હતો. પંચમહાલ પોલીસે આરોપીનો કબજો મેળવી, તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 13 વર્ષ જૂના વણઉકેલાયેલા ગુનાના આરોપીને પકડવા બદલ પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસકાર્યોની સમીક્ષા અને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચાઓને કરવામાં આવી હતી.સભામાં શહેરના વર્ષો જૂના શોપિંગ સેન્ટરના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી આગામી બે માસમાં કબજો આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા રોડ-રસ્તાના કામો અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં રાજકીય પક્ષપાત રાખ્યા વગર ઝડપ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ, વહીવટી પારદર્શિતાના મુદ્દે હિસાબોમાં જોવા મળતી વિસંગતતા અને પેન્ડિંગ ઓડિટ બાબતે વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા . તેમજ ચોમાસા પૂર્વેની તૈયારીઓ જેવી કે વોકળા સફાઈ અને ઝર્ઝરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જોકે ચર્ચા દરમિયાન પક્ષ વિપક્ષ સભ્યો વચ્ચેના વાકયુદ્ધને કારણે બોર્ડની ગરિમા જાળવવા બાબતે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું.બોર્ડમાં શહેરના વિકાસકામો, ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિપક્ષ દ્વારા જનતાની સુરક્ષા માટે મુકવામાં આવેલી અકસ્માત વીમાની દરખાસ્તને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બોર્ડની ગરિમા અને કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો મુદ્દો સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ શાસક પક્ષના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલાના વર્તન સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પ્રવીણભાઈ વાઘેલા દરેક સામાન્ય સભામાં બોર્ડની ગરિમા જાળવતા નથી અને અધ્યક્ષની મંજૂરી વગર વારંવાર વચ્ચે બોલીને વિક્ષેપ પાડે છે. વિપક્ષે જણાવ્યું કે જ્યારે જનહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ચાલતી હોય ત્યારે આવી દખલગીરીથી મૂળ મુદ્દાઓ ભટકી જાય છે. બીજી તરફ, શાસક પક્ષના નેતા મનન અભાણીએ બચાવ કરતા કહ્યું હતું કે, પ્રવીણભાઈએ તેમના વોર્ડની સાચી માહિતી આપવા અને વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી વિગતો રોકવા માટે મધ્યસ્થી કરી હતી. જનતા માટે સામૂહિક અકસ્માત વીમાની માંગ વિપક્ષી નેતા લલિતભાઈ પરસાણાએ જૂનાગઢની જનતા માટે એક મહત્વની માંગણી કરતા જણાવ્યું કે શહેરમાં ખરાબ રસ્તા, ખુલ્લા ખાડા અને ઝર્ઝરિત ઇમારતોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. જે નાગરિકો નિયમિત ટેક્સ ભરે છે, તેમની સુરક્ષાની જવાબદારી મહાનગરપાલિકાની છે. તેમણે દરખાસ્ત મૂકી હતી કે મનપાની બેદરકારીને કારણે થતા અકસ્માતોમાં લોકોને આર્થિક વળતર મળી રહે તે માટે મનપાએ 'બલ્ક અકસ્માત વીમો' ઉતારવો જોઈએ. આ પ્રકારના વીમાથી મોંઘવારીના સમયમાં ઈજાગ્રસ્ત નાગરિકોને મોટી રાહત મળી શકે તેમ છે. જોષીપુરા શોપિંગ સેન્ટરનો ઉકેલ અને રોડ-રસ્તાની કામગીરી શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે આ સભામાં જોષીપુરા માઈક્રો શોપિંગ સેન્ટરનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલી દેવામાં આવ્યો છે અને આગામી બે માસમાં વેપારીઓને દુકાનનો કબજો મળી જશે. શહેરમાં ચાલતી રોડ-રસ્તાની કામગીરી અંગે તેમણે સ્પષ્ટતા કરી કે જ્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું છે ત્યાં નવા રસ્તા બનાવવાનું શરૂ કરી દેવાયું છે. વિપક્ષ દ્વારા માત્ર ભાજપ કાર્યાલય પાસે જ રોડ બને છે તેવા આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું કે જોષીપુરાથી શાંતેશ્વર સુધીનો આખો મુખ્ય માર્ગ બની રહ્યો છે, જેમાં કોઈ રાજકીય પક્ષપાત રાખવામાં આવ્યો નથી. ઓડિટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા મનપાના હિસાબોમાં મોટી વિસંગતતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. લલિતભાઈ પરસાણાએ જણાવ્યું કે હાઉસ ટેક્સ અને એકાઉન્ટ શાખાના આંકડાઓમાં 20 લાખથી લઈ 1 કરોડ રૂપિયા સુધીનો તફાવત જોવા મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી મનપાનું ઓડિટ થયું નથી, જેને કારણે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ભીતિ છે. આ બાબતે નાણા વિભાગને પણ પત્ર લખીને તાત્કાલિક તપાસની માંગણી કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ વાઉચર અને રકમનો મેળ ન ખાતો હોવો તે ગંભીર બાબત છે. ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને ઝર્ઝરિત ઇમારતો આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રી-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા વિપક્ષે આગ્રહ કર્યો હતો. કાળવા સહિતના મુખ્ય વોકડાઓની સફાઈ અને અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે આગોતરું આયોજન કરવા સૂચના અપાઈ હતી. તાજેતરમાં કડિયાવાડ વિસ્તારમાં મકાનનો રવેશ પડતા મહિલાને થયેલી ઈજા અંગે મનપાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આવી જોખમી ઇમારતોના માલિકોને 5 દિવસની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે અને જો મરામત નહીં કરવામાં આવે તો મનપા દ્વારા કડક હાથે કાર્યવાહી કરી જોખમી ભાગ ઉતારી લેવામાં આવશે. જૂનાગઢ મનપાનું આ જનરલ બોર્ડ વિકાસના દાવા અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે અત્યંત તોફાની રહ્યું હતું. શાસકોએ વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવાનો દાવો કર્યો હતો, જ્યારે વિપક્ષે જનતાની સુરક્ષા અને હિસાબી પારદર્શિતાના મુદ્દે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
પાટણ શહેરમાં સોલાર સિસ્ટમ લગાડવાના બહાને એક નિવૃત્ત વૃદ્ધ સાથે 1,00,000 રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 10 વર્ષ જૂના મિત્રએ જ વિશ્વાસઘાત કરી નાણાં પડાવી લીધા બાદ કામ ન કરતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મિત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યોફરિયાદની વિગત મુજબ, પાટણના કેનાલ રોડ પર આવેલી શિવવિહાર સોસાયટીમાં રહેતા 67 વર્ષીય ભરત વાણીયાની મિત્રતા અંદાજે 10 વર્ષ પહેલાં રાજકોટના (હાલ ગોંડલ) લાલજી રણછોડ સિંધવ સાથે થઈ હતી. લાલજી અવારનવાર ભરતના ઘરે આવતો-જતો હતો. આ દરમિયાન તેણે પોતે સોલારનો વ્યવસાય કરતો હોવાનું જણાવી ભરતના બે મકાનો પર સોલાર સિસ્ટમ ફિટ કરવા માટે સમજાવ્યા હતા. બે હપ્તામાં 1 લાખ પડાવ્યામિત્ર પર વિશ્વાસ રાખી ભરતે સોલાર ફિટ કરાવવાની સહમતી આપી હતી. લાલજીના કહેવા મુજબ, ભરતે 7 ફેબ્રુઆરી 2022ના રોજ પુત્ર નિરવના ખાતામાંથી 50,000 અને 28 ફેબ્રુઆરી 2022ના રોજ પોતાના ખાતામાંથી બીજા 50,000 મળી કુલ 1,00,000 રૂપિયા જયેશ અશોક નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર ટ્રાન્સફર કર્યા હતા. સહી વગરનો ચેક આપી છેતરપિંડી કરીનાણાં મેળવ્યા બાદ લાલજીએ સોલાર લગાડવા બાબતે બહાનાબાજી શરૂ કરી હતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. લાંબી ઉઘરાણી બાદ લાલજીએ ભરતના પત્નીને બેન્ક ઓફ બરોડાનો 50,000 રૂપિયાનો એક ચેક આપ્યો હતો. જોકે, આ ચેકમાં લાલજીએ સહી કરી ન હોવાથી તે બેન્કમાં જમા કરાવી શકાય તેમ નહોતો. પોલીસ કાર્યવાહીપોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ભરત વાણીયાએ પુત્ર સાથે પોલીસ સ્ટેશન જઈ લાલજી રણછોડ સિંધવ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો. આ સમારોહમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓ સાથે સંકળાયેલી આ યુનિવર્સિટીના કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. ઇસરોના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાતા હતા, પરંતુ રાજ્યપાલ હવે તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ગમે તેટલા મોટા બને તો પણ માનવતા અને ઇન્સાનિયત ન છોડવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા અને ગુરુજનોને દેવતા સમાન સન્માન આપવા પણ ટકોર કરી હતી. તેમણે વિદ્યાનો પ્રચાર કરીને દુનિયાનું ભલું કરવા અને કાર્યક્ષેત્રમાં એક સારો માણસ બનીને જવાની પ્રેરણા આપી હતી, જેથી તેમની પ્રગતિ સાર્થક બને.
હિંમતનગરમાં મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ:શોભાયાત્રા અને ધજારોહણ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા શ્રી મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 17મા પાટોત્સવ નિમિત્તે શુક્રવારે બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવાર દ્વારા જપાત્મક ચંડી પાઠનું આયોજન કરાયું હતું. ત્યારબાદ માતાજીની ફોટો પ્રતિમાને રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ મંદિરના શિખર પર પૂજન-અર્ચન સાથે ધજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ સુખડીનો પ્રસાદ વિતરણ કરાયો હતો.
વલસાડ જિલ્લાના પારડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજ્યના નાણામંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા અને વર્ષ 2001થી શરૂ થયેલી વિકાસની રાજનીતિને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉમેદવારી પત્રો ભરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોમાં ઉત્સાહ પૂરવાનો હતો. ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પંચાયત રાજ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ એક રીતે 'મિની વિધાનસભા' સમાન છે. સમગ્ર ગુજરાતમાં ભાજપ તરફી માહોલ છે અને પારડીમાં પણ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આદરણીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2001થી જે વિકાસની યાત્રા શરૂ થઈ છે, તેને આ ચૂંટણીઓ વધુ વેગ આપશે. પરિયા, સુકેશ, ટુકવાડા અને ઉમરસાડી જેવી વિવિધ બેઠકો પરથી ભાજપના ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા હતા. કનુભાઈ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણી સરકાર હોય, ત્યારે વિકાસના કામો અને લોકોની સુખાકારીના કાર્યો વધુ ઝડપથી થઈ શકે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો કેસરીયા ખેસ ધારણ કરી ઉમટી પડ્યા હતા. ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે કનુભાઈ દેસાઈના આશીર્વાદ લીધા હતા અને 'ભારત માતા કી જય'ના નારાથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વોર્ડ 12 માં કોંગ્રેસના ઉમેદવાર અને ગુજસીટોક (GUJCTOC) ના આરોપી અલ્તાફ ખફીએ આજે પોલીસ જાપતા વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસ સુરક્ષા વચ્ચે નામાંકનજામનગરના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે કોઈ ઉમેદવાર ચુસ્ત પોલીસ સુરક્ષા સાથે ફોર્મ ભરવા પહોંચ્યો હોય. અલ્તાફ ખફી હાલ ગુજસીટોક કેસમાં જેલમાં હોવાથી તેને પોલીસ પ્રોટેક્શન હેઠળ લાવવામાં આવ્યો હતો. ગંભીર ગુનાના આરોપી હોવા છતાં ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા આ બેઠક આકર્ષણનું કેન્દ્ર બની છે. વોર્ડ 12 ની પેનલ અને શક્તિપ્રદર્શનઅલ્તાફ ખફીની સાથે કોંગ્રેસની પેનલના અન્ય ઉમેદવારોએ પણ આજે વિધિવત રીતે નામાંકન પત્ર ભર્યા હતા. જેમાં 3 ઉમેદવારોનો સમાવેશ થાય છે: આ તમામ ઉમેદવારોએ આજે ફોર્મ ભરીને પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કર્યું હતું. રાજકીય વિશ્લેષણવોર્ડ 12 માં ગુજસીટોકના આરોપીની એન્ટ્રીથી ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. જેલમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારને જનતા સ્વીકારશે કે કેમ, તે હવે જોવાનું રહેશે. આગામી દિવસોમાં આ બેઠક પર પ્રચાર વધુ તેજ બને તેવી શક્યતા છે.
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એકને ઈજા થઈ છે. બસ વ્યવહાર ખોરવાયો છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
સુરત શહેરની રાજનીતિમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે શાસક પક્ષ ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. પરંતુ, છેલ્લા પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભાજપના 17 જેટલા કોર્પોરેટરોએ સામાન્ય સભામાં એક પણ પ્રશ્ન પૂછવાની તસ્દી લીધી નથી, અને તેમ છતાં તેઓ ફરીથી ટિકિટ મેળવવા માટે ઉત્સુક જણાઈ રહ્યા છે. સભામાં એક પણ પ્રશ્ન ના પૂછનાર ફરી ટિકિટ મેળવવા ઉત્સુક સુરત મનપામાં 2021થી 2026ની ટર્મ દરમિયાન ભાજપના 93 અને AAPના 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા. જનતાએ આશા રાખી હતી કે તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાલિકાની સામાન્ય સભામાં લોકોના પ્રશ્નો, વિસ્તારની સમસ્યાઓ અને શહેરના વિકાસના મુદ્દે અવાજ ઉઠાવશે. પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ નીકળી છે. પરંતુ ભાજપના 17 નગરસેવકો એવા છે જેઓ પાંચ વર્ષ સુધી માત્ર હાજરી પુરાવવા પૂરતા જ સામાન્ય સભામાં હાજર રહ્યા હતાં. જે સભામાં શહેરના કરોડોના બજેટ અને નીતિ-નિયમો નક્કી થતા હોય, ત્યાં આ કોર્પોરેટરોએ મૌન ધારણ કરી લીધું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ 17 નિષ્ક્રિય સભ્યોમાં મહિલાઓની સંખ્યા 14, જ્યારે પુરુષ સભ્યો માત્ર 3 હતી. મહિલા સશક્તિકરણના યુગમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અપાયેલા આરક્ષણ પાછળનો હેતુ એ હતો કે સ્ત્રીઓ પણ વહીવટી પ્રક્રિયામાં સક્રિય ભાગ લે. પરંતુ સભામાં પ્રશ્નોત્તરીના સમયે મૌન સેવીને બેસી રહ્યા હતાં. જાણો કોણ છે જેને એક પણ સવાલ ના થયોપાલિકાના રેકોર્ડ પર પાંચ વર્ષ સુધી મૌન રહેનારા અને એક પણ સત્તાવાર પ્રશ્ન ન પૂછનારા સભ્યોમાં વૈશાલી દેવાંગ શાહ, હેમલતા, ભૂપેન્દ્ર રાવતકા, રૂપાબેન પંડ્યા, ઉષાબેન રાજેન્દ્ર પટેલ, ભારતીબેન સતીષ વાઘેલા, ડિમ્પલ ચેતનભાઈ કાપડીયા, ઉર્મિલાબેન ત્રિપાઠી, હીના કણસાગરા, કવિતા એનાગુંદલા, કાન્તાબેન વાકોડીકર, નિરાલી રાજપૂત, શશીબેન ત્રિપાઠી, વૈશાલી રાજેન્દ્રભાઈ પાટીલ, રાજકુંવર રાઠોડ, રીના રાજપૂત, કનુ પટેલ, હસમુખ શંકરભાઈ નાયકા, ચીમન પટેલ છે. નિષ્ક્રિયતા છતાં ફરીથી ટિકિટ મેળવવાની લાલસાએક તરફ જ્યારે નિષ્ઠાવાન કાર્યકરો વર્ષો સુધી પક્ષ માટે પાયાનું કામ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની નિષ્ક્રિયતા છતાં ફરીથી ટિકિટ મેળવવાની લાલસાએ ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચા જન્માવી છે. રસ્તા, પાણી, ગટર અને ટ્રાફિક વિશે પણ બોલ્યા નથી!સામાન્ય સભામાં ઝીરો અવર્સ બાદ જ્યારે અડધો કલાક પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવે છે, ત્યારે શહેરના પ્રાથમિક પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી, ગટર અને ટ્રાફિક અંગે રજૂઆત કરવાની હોય છે. આ 17 સભ્યોએ પોતાના વિસ્તારની નાની સમસ્યા અંગે પણ અવાજ ઉઠાવ્યો નથી.
ગુજરાતમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે રાજ્ય સરકારે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો સહારો લીધો છે. ડ્રગ્સના ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને વધુ સચોટ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા ‘NARIT AI’ (Narcotics Analysis RAG-based Investigation Tool) નામનું અત્યાધુનિક ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તપાસ બનશે વધુ વૈજ્ઞાનિક, સજાનો દર વધશેઘણી વખત જટિલ NDPS (નશાબંધી) કેસોમાં મજબૂત પુરાવા હોવા છતાં નાની પ્રક્રિયાત્મક ખામીઓને કારણે આરોપીઓ કોર્ટમાંથી છૂટી જતા હોય છે. ‘NARIT AI’ નો મુખ્ય હેતુ આવી ખામીઓને દૂર કરી તપાસને વધુ વૈજ્ઞાનિક અને પુરાવા-લક્ષી બનાવવાનો છે, જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય (Conviction Rate વધારી શકાય). કેવી રીતે કામ કરે છે ‘NARIT AI’?રિયલ-ટાઈમ વિશ્લેષણ: તપાસ અધિકારી જેવી FIR અપલોડ કરશે, કે તરત જ આ સિસ્ટમ કેસનું ઊંડું વિશ્લેષણ કરશે.માર્ગદર્શન: આ ટૂલ કેસની મજબૂતી અને નબળાઈઓ દર્શાવશે અને આગળ કયા કાનૂની પગલાં લેવા જોઈએ તેનું રિપોર્ટ સ્વરૂપે સૂચન આપશે.ઐતિહાસિક ચુકાદાઓનો ડેટા: આ એપ્લિકેશન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હજારો ચુકાદાઓ તેમજ NDPS, BNS અને BNSS જેવા કાયદાઓના ડેટાબેઝ પર આધારિત છે, જેનાથી તપાસ અધિકારીને તૈયાર કાનૂની સંદર્ભો મળી રહેશે.ચોકસાઈ: આ ટૂલ ઓપન ઇન્ટરનેટ પર નિર્ભર ન હોવાથી તેમાં ભૂલો (Hallucinations) થવાની શક્યતા નહિવત છે. પશ્ચિમ રેલવે પોલીસ અને AI સ્ટાર્ટઅપનું સંયુક્ત સાહસઆ મહત્વપૂર્ણ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈના એક AI સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ પહેલને આખરી ઓપ અપાયો છે, જેમાં વડોદરા રેલવે SP અભય સોનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદનઆ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા કટિબદ્ધ છે. ટેક્નોલોજીના માધ્યમથી હવે તપાસ વધુ મજબૂત બનશે અને ડ્રગ્સના સોદાગરો સામે કાયદાનો ગાળિયો વધુ કડક થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘NARIT AI’ ના આગમનથી ગુજરાત પોલીસ હવે હાઈટેક બનીને ડ્રગ માફિયાઓ સામે મોરચો માંડશે.
સુરતના વેડ રોડ વિસ્તારમાં ફરી એકવાર ગેંગવોર અને ગુંડાગીરીનો નમૂનો જોવા મળ્યો છે. કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સક્રિય સભ્ય દીપક ઉર્ફે દીપક કુટેકરે પોતાની ધાક જમાવવા માટે જાહેરમાં સિગારેટનો દમ મારતા મારતા પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. આરોપીનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઉભો કરી પોતાની 'હવા' બનાવવાનો હતો. જો કે,આ વીડિયો જ તેના માટે જેલના દરવાજા ખોલનારો સાબિત થયો છે. શહેર SOG ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ શખ્સને પિસ્તોલ સાથે ફિલ્મી ઢબે દબોચી લીધો હતો. આરોપીને દબોચવા ફિલ્મી ઢબે ઓપરેશનSOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ફાયરિંગ કરનાર રીઢો ગુનેગાર દીપક કુટેકર ચોક બજાર વિસ્તારમાં અખંડ આનંદ કોલેજની બાજુમાં વિરામનગર સોસાયટી પાસે ફરી રહ્યો છે. પોલીસની ટીમે વોચ ગોઠવી વિરામનગર સોસાયટીના ગેટ પાસેથી દીપક કુટેકરને દબોચી લીધો હતો. પોલીસે તપાસ કરતા તેના કમરના ભાગે છુપાવેલી 35,000ની કિંમતની ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. આરોપી મૂળ મહારાષ્ટ્રના મહાડ તાલુકાના વાળન ગામનો વતની છે અને હાલ વેડરોડ પર માધવ એપાર્ટમેન્ટમાં રહે છે. હિતેશ સોલંકીને પાઠ ભણાવવા UPથી હથિયાર મંગાવ્યુંધરપકડ બાદ આરોપીની કડક પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. દીપકે જણાવ્યું કે, વર્ષ 2024માં હિતેશ સોલંકી નામના શખ્સ સાથે તેને મોટો ઝઘડો થયો હતો. એ સમયે હિતેશ સોલંકીએ દીપક પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં દીપક બચી ગયો હતો પરંતુ તેના મનમાં બદલાની આગ સળગી રહી હતી. હિતેશને વળતો જવાબ આપવા અને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે તેણે અંદાજે એકાદ વર્ષ પહેલા ઉત્તરપ્રદેશથી 35,000માં આ પિસ્તોલ ખરીદી હતી. આ હથિયાર મેળવવામાં હાલ જેલમાં બંધ વોન્ટેડ આરોપી રોહિત ઉર્ફે મુન્ના દૂધે ભૂમિકા ભજવી હતી. હથિયાર સપ્લાય કરનાર કોણ તેની તપાસDCP રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે, આ મામલે પોલીસ અત્યંત ગંભીર છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1)(A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ કલમ હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયાર ઉત્તરપ્રદેશના કયા સપ્લાયર પાસેથી આવ્યું હતું અને મુન્ના સિવાય આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે. હિતેશ સોલંકી કઈ ગેંગ સાથે સંકળાયેલો છે અને તેની શું ભૂમિકા છે તે અંગે પણ તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસઆરોપી દીપક કુટેકર કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ગુનાખોરીની દુનિયાનો મોટો ખેલાડી છે. સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેની સામે અત્યાર સુધીમાં કુલ 21 ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ખૂનની કોશિશ, રાયોટિંગ, એટ્રોસિટી, મારામારી, ફાયરિંગ અને NDPS (નશાકારક પદાર્થોની હેરાફેરી) જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે, આરોપી દીપક કાકુટેકર સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. તેની ચાર વખત પાસા હેઠળ ધરપકડ થઈ છે અને એક વખત તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા. જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે.
વડોદરા શહેરમાં અવાર નવાર ભારદારી વાહનોથી અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં શહેરના દુમાડ ચોકડી બ્રિજ નીચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ભારદાર વાહનને લગ્ન પ્રસંગે જતા દંપતિને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભારદારી વાહને અડફેટે લેતાં પત્નીની સામે પતિનું મોત મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાસણા-આમોદ વિસ્તારના વતની ગણપતભાઈ મોહનભાઈ પાટણવાડિયા પોતાની પત્ની સાથે આસોજ (લગ્ન પ્રસંગ)માં હાજરી આપવા વડોદરા આવી રહ્યા હતા. દુમાડ ચોકડી પાસે બ્રિજ નીચે ભારદાર વાહને અડફેટે લેતા ગણપતભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્ની બાજુમાં ફેંકાઈ જતા આબાદ બચાવ થયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોઆ ઘટનાની જાણ થતા જે સમા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે સમા પોલીસે ફ્યુલ ભરેલ ભારદારી વાહન ચાલકને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવે છે. આ અકસ્માતમાં મૃતકને હાલમાં સયાજી હોસ્પિટલમાં આવેલા પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા અક્ષર આર્યા સામેના પ્લોટ નંબર 209ના સોદાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર ‘અશાંત ધારા’ હેઠળ આવતો હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા રહીશોએ ગત મોડી રાત્રે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો કરી ન્યાયની માંગ કરી હતી. ‘રામ ધૂન’ બોલાવીને સ્થાનિકોએ વિરોધ કર્યોસ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરાના નેતૃત્વમાં મહિલાઓ અને અન્ય રહીશોનો મોટી સંખ્યામાં મેઘધનુષ સોસાયટી ખાતે સ્થાનિક કોર્પોરેટરના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યો હતો. રહીશોએ ત્યાં દોઢ કલાક સુધી રોકાઈને ‘રામ ધૂન’ બોલાવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 'મિલકતના સોદાને તાત્કાલિક રદ કરવામાં આવે'રહીશોએ જણાવ્યું કે,છેલ્લા 15 દિવસથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તેમની મુખ્ય માંગ છે કે આ મિલકતના સોદાને તાત્કાલિક રદ કરવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 'અશાંતધારો લાગુ હોવા છતાં ફલેટ વેંચ્યો'આ અંગે સ્થાનિક આગેવાન પ્રજ્ઞા મહેરાએ જણાવ્યું હતું કે,અમારી માંગણી છે કે અમે છેલ્લા 10 દિવસથી આ જ માંગણીનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે અશાંતધારો લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ અક્ષર આર્યાની સામે આવેલો છે, છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી. અમે આજે વિશ્વ હિન્દુ પરિષદને સાથે રાખી બધી જગ્યા પર ફરિયાદ કરીએ છીએ. શરૂઆત પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસ અને અત્યારે અમે અહિયાં મેઘધનુષ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ. 'જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું'મહેરાએ વધુમાં કહ્યું કે, અમારો એક જ વિરોધ છે કે આ જગ્યા પર હિન્દુ અને મુસલમાન ભાગીદારી થઈને દસ્તાવેજ કર્યો છે તો તે રદ કરવો જરૂરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આગળ આંદોલન અને ધરણા પણ કરીશું. કોર્પોરેટરના ઘર આગળ દોઢ કલાક સુધી રાહ જોઈ અને અહીંયા રામધુન પણ કરી છે, તેઓ ઘરે ન હોવાનું જણાવી રહ્યા છે. આ મામલે જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું.
વડોદરા પાસથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આજે (10 એપ્રિલ) વહેલી સવારે કરજણના હલદરવા ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો હતો. સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી GJ16DS3079 નંબરની આર્ટિગા કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો બુકડો બોલી જતાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે. બુકડો કારના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યો અકસ્માતની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં ડ્રાઈવર અને બે મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કરજણ ફાયરની ટીમે ડ્રાઇવરની બાજુમાં બેઠેલ અને ગંભીર રીતે ફસાયેલા મૃતકને આધુનિક હાઈડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને ગાડીના પતરા કાપીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. કારમાં ચાર લોકો સવાર હતાંઆ ઘટનામાં મોતને ભેંટેલા યુવકનું નામ આકાશ અનિલભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. તેના માથાના ભાગે ગંભીર ઈજાના કારણે માસના લોચા પણ બહાર નીકળી ગયાં હતાં. આ દૃશ્યો જોનારાને પણ કંપારી છુટી ગઈ હતી. હાલ સાવલી આઉટ પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31માં જન્મદિવસની જામનગરમાં લોકભોગ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જામનગરની જનતા માટે ભવ્ય લોકડાયરો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલાકારોનું પ્રદર્શનજન્મદિવસ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો સાઈરામ દવે, રાજભા ગઢવી, વિપુલ મહેતા અને દેવાંગી પટેલે પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અનંત અંબાણીના જીવન અને સેવાકીય કાર્યો પર તૈયાર કરવામાં આવેલું ખાસ ગીત હતું, જેને હાજર જનમેદનીએ ઉત્સાહપૂર્વક વધાવ્યું હતું. જનસેવા અને કરુણાનો સંદેશઅનંત અંબાણીની ઈચ્છા મુજબ, આ ઉજવણી માત્ર ધાર્મિક સ્થળો સુધી મર્યાદિત ન રાખતા સામાન્ય લોકોની વચ્ચે કરવામાં આવી હતી. શહેરના નાગરિકો માટે ‘ધૂમાડાબંધ’ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ખાસ કરીને મહિલાઓએ અનંત અંબાણીના જીવદયા અને લોકસેવાના કાર્યોને બિરદાવી તેમને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટનું નિવેદનઆ પ્રસંગે રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, અનંત અંબાણીમાં ગરીબો અને અબોલ જીવો પ્રત્યે અપાર કરુણા છે. તેમનો સ્વભાવ કોઈ મોટા ઉદ્યોગપતિ જેવો નહીં, પણ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જામનગરની માટી અને રિફાઇનરી પ્રત્યે તેમને વિશેષ લગાવ અને ગૌરવ છે. વનતારા જેવા સેવાકીય પ્રકલ્પો દ્વારા તેઓ સતત પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા કરી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશની કૃપા તેમના પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના છે. ડાયરા અને મહાપ્રસાદના આયોજનની અન્ય તસવીરો…
જૂનાગઢમાં ગેરકાયદેસર હથિયારોનો વેપલો અને ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વિસાવદર તાલુકાના પીરવડ ગામ પાસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને એક શખ્સને ઘાતક પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે ઝડપી લીધો છે. મામા દેવના મંદિર પાસે શંકાસ્પદ રીતે ફરતા સુરેશ હુદડ નામના શખ્સની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેણે પેન્ટના નેફામાં છુપાવીને હથિયાર રાખ્યું હતું. આ મામલે સુરેન્દ્રનગરના એક શખ્સનું નામ પણ ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગના અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યા હતા. આ દરમિયાન એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઈ કે.એમ. પટેલની ટીમને બાતમી મળી હતી કે, વિસાવદરના પીરવડનો સુરેશ માણસુરભાઈ હુદડ હથિયાર સાથે ગામથી શોભાવડલા લશ્કર રોડ પર આવેલા મામા દેવના મંદિર પાસે કોઈની રાહ જોઈ રહ્યો છે અથવા તો શંકાસ્પદ રીતે આંટાફેરા મારી રહ્યો છે. બાતમી મળતા જ એસ.ઓ.જી.ની ટીમે સિવિલ ડ્રેસમાં ઓપરેશન ગોઠવ્યું હતું. પોલીસની ટુકડી જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે સુરેશ ત્યાં હાજર હતો. અચાનક આવેલી પોલીસને જોઈ તે ભાગવાની કોશિશ કરે તે પહેલા જ જવાનોએ તેને દબોચી લીધો હતો. જ્યારે તેની અંગઝડતી લેવામાં આવી ત્યારે તેના પેન્ટના નેફામાંથી એક પિસ્તોલ અને બે જીવતા કાર્તૂસ મળી આવ્યા હતા. પોલીસે ₹20,000 ની કિંમતની પિસ્તોલ અને કાર્તૂસ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.પોલીસની આકરી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ હથિયાર તેને સુરેન્દ્રનગરના કિશન ગઢવી નામના શખ્સે આપ્યું હતું. આ ખુલાસા બાદ પોલીસે કિશન ગઢવીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ હથિયાર કોઈ મોટી વારદાતને અંજામ આપવા માટે લાવવામાં આવ્યું હતું કે માત્ર રોફ જમાવવા, તે દિશામાં હવે વિસાવદર પોલીસ અને એસ.ઓ.જી. સંયુક્ત તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, કરશનભાઈ મોઢા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, મેણસીભાઈ અખેડ, બાલુભાઈ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ અને ડ્રાઈવર વિશાલભાઈ ડાંગરે મહત્વની ભૂમિકા ભજવી હતી. વિસાવદર પંથકમાં ધોળા દિવસે હથિયાર સાથે શખ્સ પકડાતા ચકચાર મચી ગઈ છે, સાથે જ પોલીસે ગુનેગારોને કડક મેસેજ આપ્યો છે કે જૂનાગઢમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. જેને લઈને આજે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ભાજપના સ્થાનિક કોર્પોરેટરો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ચૂંટણીમાં કોઈ પણ કોર્પોરેટરે કોઠી ફળિયામાં વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં. અટલાદરા વિસ્તારમાં રહેતા સુધાબેન ચાવડાએ જણાવ્યું હતું કે, અમે અટલાદરા ગામના કોઠી ફળિયામાં રહીએ છીએ. છેલ્લા 15 વર્ષથી અહીં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. તમે પોતે જોઈ શકો છો કે, આ પાણી કેટલું ગંદુ અને ડહોળું છે. ક્યારેક તો આનાથી પણ ખરાબ, એકદમ કાળું પાણી આવે છે. અમે કેટલીય વાર અમારા વિસ્તારના કોર્પોરેટરને ફોન કર્યા છે, અનેક ફરિયાદો આપી છે. પણ જ્યારે પણ ફરિયાદ કરીએ, ત્યારે તેઓ ટાંકી પર કામ કરતા મજૂરોને મોકલી દે છે. આ લોકો આવે છે, ખાલી પાણી ચેક કરે છે, બોટલ ભરીને લઈ જાય છે અને બસ, વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. કોઈ કાયમી નિકાલ આવતો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી કોઈ કોર્પોરેટર અહીં ડોકાયું પણ નથી. જો આ પાણી તેઓ પી શકતા હોય, તો જ અમે આ પાણી પી શકીએ. સામાન્ય જનતા આવું ગંદુ પાણી કેવી રીતે પીવે? મેં હમણાં જ અઠવાડિયા પહેલા અમારી ટાંકી સાફ કરાવી, તમે માનશો નહીં એટલો બધો કચરો એમાંથી નીકળ્યો છે. અમારી માંગણી બહુ સ્પષ્ટ છે. જો આ રીતે જ ગંદુ પાણી આવવાનું હોય, તો આ પાઇપલાઇન જ તોડી નાખો, અમારે આવું પાણી જોઈતું જ નથી. અમે બીજે ક્યાંકથી પાણી ભરી લાવીશું. પણ પછી કોઈએ અમારી પાસે વેરો માંગવા આવવું નહીં. અને ખાસ કરીને, આ ચૂંટણીઓમાં કોઈ પણ કોર્પોરેટરે કોઠી ફળિયામાં વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં. તેઓએ કહ્યું કે, જો તમે અમારી પાયાની જરૂરિયાત પૂરી નથી કરી શકતા, તો મોટા-મોટા વાયદાઓનો કોઈ અર્થ નથી. તમે આખા અટલાદરા ગામમાં પૂછી જુઓ, અમારા ફળિયાની હાલત 15 વર્ષથી આવી જ છે. જો અઠવાડિયામાં આનો નિકાલ નહીં આવે, તો અમે કોઈ પણ જાતનો ટેક્સ ભરીશું નહીં અને વોટ પણ આપીશું નહીં. અટલાદરા વિસ્તારમાં આવેલ કોઠી ફળિયામાં રહેતા અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો માને છે કે ચોમાસામાં પાણીની સમસ્યા હોય, પણ અહીં તો શિયાળો હોય કે ભર ઉનાળો અમે ગંદા પાણીનો જ સામનો કરીએ છીએ. ઉનાળામાં પણ નળમાં ગટરનું કાળું અને ગંદુ પાણી આવે છે. અમારે શું આ પાણી પીવાનું? આ વિસ્તારમાં લાઇન નાખ્યાને 15 વર્ષ થઈ ગયા છે, પણ સમસ્યા કાયમની છે. સવારે અડધો કલાક પાણી આવે તો એમાં પણ પહેલા અડધો કલાક ગટરનું જ પાણી હોય છે. પ્રેશર પણ બિલકુલ હોતું નથી. અમે કેટલીય વાર ફરિયાદો કરી છે, પણ કોઈ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેમના ઘરે સગવડ છે તેઓ બહારથી પાણી ખરીદી લાવે છે અથવા દૂરથી ભરી લાવે છે. પણ જે લોકો મજૂરી કામ કરવા જાય છે, જેમના ઘરના પુરુષો સવારથી કામે નીકળી જાય છે, તેમને પાણી કોણ લાવી આપે? આ ખૂબ જ મોટી મુશ્કેલી છે. કોર્પોરેટરોએ તો અમારું ‘કોઠી ફળિયું’ જોયું જ નથી. એમને તો ખબર પણ નહીં હોય કે બિલ ગામમાં કોઠી ફળિયું ક્યાં આવ્યું છે. વોટ લેવા માટે બધા આવશે, પણ પાછળથી કોઈ જોવા આવતું નથી. અમે આ વખતે મક્કમ છીએ કે જો અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો અમે કોઈને ફળિયામાં પેસવા પણ નહીં દઈએ. જો અમને પાયાની જરૂરિયાત જેવું શુદ્ધ પાણી જ ન મળતું હોય, તો વોટ આપવાનો શું અર્થ? અમને નવી પાણીની લાઇન જોઈએ છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે. આજે મને સ્થાનિકોનો ફોન આવ્યો ત્યારે હું અહીં પહોંચ્યો છું. લોકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. અત્યારે શાસક પક્ષ ભાજપના લોકો સત્તામાં છે. મારે એમને પૂછવું છે કે શું તમે પોતે આવું ગંદુ પાણી પી શકો? જો તમે પીવો તો જ તમને લોકોની વેદનાની ખબર પડે. આજે 'વિશ્વ જળ સંસાધન દિવસ' છે, અને આવા દિવસે પણ કોર્પોરેશન અને સત્તાધીશો લોકોને ગંદુ પાણી પીવડાવી રહ્યા છે. હું શાસક પક્ષ અને કોર્પોરેશનને કહેવા માંગુ છું કે આવનારી ચૂંટણીમાં જનતા તમને આનો જવાબ આપશે. આ પાણી એટલું ગંદુ છે કે કોઈ પી શકે તેમ નથી. જો સત્તાધીશોમાં હિંમત હોય તો તેઓ આ પાણી પીને બતાવે, ત્યારે જ તેમને વાસ્તવિકતા સમજાશે.
વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે:11 KV જૈન ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 11 એપ્રિલ, 2026ના રોજ 11 KV જૈન ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કારણે શનિવારે સવારે 8:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી વેરાવળના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાર ચોક, સુભાષ રોડ, જૈન હોસ્પિટલ રોડ, વખારિયા બજાર, લાબેલા રોડ, ઘાણી શેરી, જુના રબારી વાડા, બહારકોટ, જૂની મામલતદાર ઓફિસ, પાટણ દરવાજા અને જબાર ચોકનો સમાવેશ થાય છે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા જણાવાયું છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે, પરિવારના સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે.
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નવસારીના 13 વોર્ડની તમામ 52 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. જોકે, પ્રદેશ કમિટી દ્વારા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ સ્થાનિક સ્તરે સંભવિત ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. નવસારી શહેરના ઘાંચી સમાજની વાડી ખાતે સવારથી જ ભાજપના દાવેદારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાજપ દ્વારા શિસ્તબદ્ધ રીતે દરેક વોર્ડની ત્રણ-ત્રણ પેનલના સંભવિત ઉમેદવારોને બોલાવી તેમના ફોર્મ તૈયાર કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ગતિવિધિ દર્શાવે છે કે પક્ષે સસ્પેન્સ જાળવી રાખીને પણ આંતરિક રીતે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઉમેદવારી ફોર્મમાં કોઈપણ પ્રકારની કાયદાકીય ક્ષતિ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ભાજપ સમર્પિત 15થી વધુ વકીલોની એક વિશેષ ટીમ મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમ દ્વારા ઉમેદવારોના દસ્તાવેજો અને એફિડેવિટની ઝીણવટભરી તપાસ કરીને ફોર્મ ભરવાની કામગીરીમાં મદદ કરવામાં આવી રહી છે. હાલમાં ઉમેદવારોના નામ અંગે ભારે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોર બાદ પ્રદેશ ભાજપ દ્વારા 13 વોર્ડના તમામ 52 ઉમેદવારોના અંતિમ લિસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યાં સુધી કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 માટે રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી ભારે નીરસતા જોવા મળી છે. ભાજપ દ્વારા ગુરુવાર સાંજ સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર ન થતા તેની સીધી અસર ફોર્મ ભરવાની પ્રક્રિયા પર પડી છે. જિલ્લાની કુલ 266 બેઠકો પર અત્યાર સુધીમાં માત્ર જૂજ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામો પર હજુ પણ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે. આ કારણે વાપી મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી માત્ર 6 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે માત્ર 12 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. ઉમરગામ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો હોવા છતાં અત્યાર સુધી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ભાજપની યાદીની રાહ જોઈને 'વેટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. કોંગ્રેસે વાપી મહાનગરપાલિકા માટે 32 ઉમેદવારોના નામ ફાઇનલ કરી લીધા છે, પરંતુ તેની જાહેરાત કરવામાં આવી નથી. અત્યાર સુધી માત્ર 2 જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. શુક્રવારે કોંગ્રેસ વધુ 30 ઉમેદવારોના ફોર્મ ભરાવે તેવી શક્યતા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈએ દાવો કર્યો છે કે તેમની 20 ઉમેદવારોની યાદી તૈયાર છે અને બાકી રહેલા 18 ઉમેદવારો આજે ફોર્મ ભરશે. જિલ્લાની 6 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો પર ગુરુવાર સુધીમાં માત્ર 33 ફોર્મ ભરાયા છે. વલસાડમાં 32 બેઠક પર 4 ઉમેદવાર, ધરમપુરમાં 24 બેઠક પર 3 ઉમેદવાર, કપરાડામાં 22 બેઠક પર 5 ઉમેદવાર, નાનાપોંઢામાં 20 બેઠક પર 12 ઉમેદવાર, ઉમરગામમાં 30 બેઠક પર 6 ઉમેદવાર અને પારડીમાં 22 બેઠક પર 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ચોટીલા શહેરની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી વિનિયન કોલેજ ખાતે ચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી – ૨૦૨૬ માટે પ્રથમ ચૂંટણીલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર-૧, પોલીંગ ઓફિસર અને મહિલા પોલીંગ ઓફિસર માટે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર, ચોટીલા, એચ. ટી. મકવાણા હાજર રહ્યા હતા. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મકવાણાએ મતદાન પ્રક્રિયા, ઇવીએમ મશીનોના ઉપયોગ, મતદારની ઓળખ પ્રક્રિયા, સીલિંગ પ્રક્રિયા અને મતદાન દરમિયાન પાલન કરવાના નિયમો અંગે વિગતવાર માહિતી આપી હતી. આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમ દરમિયાન મતદાન મથક પર ઊભી થતી વિવિધ પરિસ્થિતિઓનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. અધિકારીઓને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને યોગ્ય રીતે હલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને મતદારોને સરળતા રહે તે માટેની આવશ્યક બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હતું. જો કે હવે ભાવનાની એક ડાયરી મળી છે. જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. ભાવનાએ પુત્ર પ્રાપ્તિ માટે શિવ મંદિરની માનતા રાખી હતી. જેને પગલે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં દંપતી વચ્ચે ઝઘડાઓ થતા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. વિમલ ઘઉમાં મૂકવાની દવા રામનગરના એગ્રો સેન્ટરમાંથી જંતુનાશક દવા લાવ્યો હતો. પૂછપરછ દરમિયાન પિતાનું BP હાઇ થઈ જાય છેપોલીસ પૂછપરછ દરમિયાન બાળકીઓના પિતાનું બીપી હાઈ થઈ જાય છે. પોલીસને પરિવાર પર જ શંકા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વર્ષ 2024માં બાળકીઓના પિતા મુંબઈ મોડેલિંગ માટે નીકળ્યો હતો. ઘર કંકાસ અને ખીરાના એંગલથી તપાસઆ અંગે ચાંદખેડા PI જયેશ મકવાણાએ જણાવ્યું કે, વિસેરાનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમજ કેડી હોસ્પિટલમાંથી માતા-પિતાના બ્લડ સેમ્પલ લઈ NFSUમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ બ્લડમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી હતી. કયા કારણોસર તેની માત્રા વધારે છે તે બાબતે પણ ડોક્ટરનો અભિપ્રાય મેળવી આગળની તપાસ કરાશે. ઘનશ્યામ ડેરીના કર્મચારીઓ અને માલિકના નિવેદન લેવામાં આવ્યા હતા. એના ઉપરથી ફલિત થાય છે કે ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી. ખીરાથી અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભર્યું છે તે બન્ને એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ઘરના સદસ્યોમાં બાળકીઓના દાદા ગૌરીશંકરજી અને દાદી કુસુમ તેમજ તેના વેવાઈ એમ તમામની પૂછપરછ ચાલુ છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોત કયા કારણોથી થયું તે સ્પષ્ટ થશે.
તળાજામાં શેરડીના વાવેતરમાં ગાંજાની ખેતી, 21 લીલા છોડ જપ્ત:4.16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના કારોબાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ખેતરમાં શેરડીના પાક વચ્ચે ગેરકાયદેસર રીતે વાવવામાં આવેલા ગાંજાના 21 લીલા છોડ ઝડપાયા છે. એસઓજીએ 16.640 કિલોગ્રામ વજનનો અને 4.16 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કરીને એક શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. શેરડીની આડમાં ચાલતી હતી નશાની ખેતીએસઓજી કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર SOG સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતો પરશોતમ ગોવિંદભાઈ ડોડીયા નામના શખ્સે પીથલપુર રોડ પર 'જૂની વાવના કેડા' પાસે આવેલા પોતાના પ્લોટમાં શેરડીનું વાવેતર કર્યું છે અને તેની આડમાં લીલા ગાંજાના છોડ ઉગાડ્યા છે. આ બાતમીના આધારે SOG ની ટીમે ઘટનાસ્થળે અચાનક દરોડો પાડ્યો હતો. FSLની ટીમે સ્થળ પર જ કરી ખરાઈપોલીસને તપાસ દરમિયાન શેરડીના પાક વચ્ચેથી શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા. જેની સત્તાવાર ખરાઈ કરવા માટે એફએસએલ (FSL)ના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. એફએસએલની તપાસમાં આ છોડ નશાકારક ગાંજાના હોવાનું જ ફલિત થતાં, પોલીસે કુલ 21 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 16.640 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 4.16 લાખ આંકવામાં આવી છે. સાધુ-સંતો અને પોતાના માટે વાવેતર કર્યું હતુંપોલીસે આરોપી પરશોતમ ડોડીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને પોતાને ગાંજો પીવાની ટેવ છે, આ ઉપરાંત સાધુ-સંતોને આપવા માટે તેણે પોતાના પ્લોટમાં ગાંજાની ખેતી કરી હતી. આ મામલે SOG ના મહિપાલસિંહ દિલુભા ગોહિલ દ્વારા દાઠા પોલીસ મથકમાં આરોપી શખ્સ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ દાઠા પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ (NDPS Act) હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ વોર્ડના ઉમેદવારોનું ઉમેદવારી પત્ર ભરવા માટે વિજય સંકલ્પ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા શહેરના માર્ગો 'પરિવર્તન'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા, ભીડભંજન મહાદેવના આશીર્વાદ સાથે પ્રારંભઆ પદયાત્રાનો પ્રારંભ જિલ્લા પંચાયત પાસે આવેલા પવિત્ર ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો, મહાદેવના આશીર્વાદ લઈ, વિજયના સંકલ્પ સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારો, પક્ષના હોદ્દેદારો, ઉમેદવાર ના ચાહકો તથા કાર્યકરો વાજતે-ગાજતે કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભર્યા હતા, મહાનગરપાલિકા ના 1 થી 13 વોર્ડ માટે અલગ અલગ ચાર જગ્યાએ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વોર્ડ નંબર 1 થી 3 માટે પ્રાંત અધિકારીની કચેરી કલેકટર ઓફીસ, વોર્ડ નંબર 4 થી 6 માટે સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર બહુમાળી ભવન, વોર્ડ નંબર 7 થી 10 જિલ્લા પુરવઠા કચેરી કલેકટર ઓફીસ તથા વોર્ડ નંબર 11 થી 13 માટે જિલ્લા આયોજન કચેરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ ભર્યા હતા, પદયાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરની જનતાને પરિવર્તન માટે અપીલ કરવામાં આવી હતી, પદયાત્રામાં આવો સૌ સાથે મળી ભાવનગરમાં પરિવર્તન લાવીએ તથા પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ સૂત્રોચ્ચાર કર્યા હતા, ઢોલ-નગારા અને વિજયના ઉત્સાહ સાથે પદયાત્રા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા, કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાવનગરની જનતા આ વખતે પાયાની સુવિધાઓ અને શહેરના વિકાસ માટે કોંગ્રેસ પર પસંદગી કરશે કે નહીં તે જોવાનું રહ્યું....? કોંગ્રેસ ના 1 થી 13 ના વોર્ડ ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 મનિષાબેન કમલેશભાઈ ગોહિલવોર્ડ નં.1 કાન્તીભાઈ બી. ગોહીલવોર્ડ નં.1 પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા વોર્ડ નં.2 કિશનભાઈ બળવંતભાઈ મેર વોર્ડ નં.3 અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી વોર્ડ નં.4 રેખાબેન હરેશભાઈ સરધારાવોર્ડ નં.4 રાકેશભાઈ લાલજીભાઈ પરમાર વોર્ડ નં.5 જસુબેન આનંદભાઈ બારૈયાવોર્ડ નં.5 શબાનાબેન અબ્દુલવાહીદ ખોખરવોર્ડ નં.5 ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા વોર્ડ નં.7 ઈલાબેન પ્રભુભાઈ ડોડીયાવોર્ડ નં. 7 અનવરખાન રહીમખાન પઠાણ વોર્ડ નં.8 સોનલબેન ચંદનભાઈ પટેલવોર્ડ નં.8 હેતલબેન ભાવિનભાઈ કાછડિયા વોર્ડ નં.9 ભૂમીબેન સંદીપભાઈ ગોહિલવોર્ડ નં.9 નીતાબેન પ્રકાશભાઈ વાઘાણીવોર્ડ નં.9 જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ વોર્ડ નં.10 મમતાબેન ભાવેશભાઈ ગોહિલવોર્ડ નં.10 વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ વોર્ડ નં.12 મકવાણા નયનાબેન અશોકભાઈવોર્ડ નં.12 ભાવેશભાઈ રમેશભાઈ પટેલવોર્ડ નં.12 જયેશભાઈ રમેશભાઈ બારૈયા વોર્ડ નં.13 રેખાબેન ઘરમશીભાઈ ગોહેલવોર્ડ નં.13 કલ્પેશભાઈ અશોકભાઈ પટેલવોર્ડ નં.13 જયદેવસિંહ ભીખુભા ગોહિલ
ધ્રાંગધ્રામાં 54,200નો ગાંજો ઝડપાયો:SOG સુરેન્દ્રનગરે એક આરોપીને પકડ્યો, બીજો ફરાર
સુરેન્દ્રનગર SOG ટીમે ધ્રાંગધ્રામાંથી ₹54,200ની કિંમતનો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. પોલીસને મળેલી બાતમીના આધારે, ધ્રાંગધ્રાના અલ મદીના મસ્જિદ પાસે, ખાટકી વાસ વિસ્તારમાં રહેતા યાસીનભાઈ ઉર્ફે માથો ઇકબાલભાઈ બાબી (ઉંમર 38)ના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો અને ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપી યાસીનભાઈની ધરપકડ કરીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચના મુજબ, જિલ્લામાં NDPS ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગાંજો સપ્લાય કરનાર લીંબડીના હર્ષદભાઈ કિશોરભાઈ નામના બીજા આરોપીને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ સહિત SOGના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
બોટાદ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી:જિલ્લા પંચાયત અને બે નગરપાલિકાની બેઠકો માટે નામો જાહેર
બોટાદ જિલ્લા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જિલ્લા પંચાયતની 20 બેઠકો, બોટાદ નગરપાલિકાની 44 અને બરવાળા નગરપાલિકાની 24 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતોના ઉમેદવારોની જાહેરાત બપોર બાદ કરવામાં આવશે. જિલ્લા પંચાયતની યાદીમાં પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેવા જૂના ચહેરાઓને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. કોંગ્રેસે પસંદગી પામેલા ઉમેદવારોના સિંગલ નામોની જાહેરાત કરી છે. કેટલાક ઉમેદવારો આજથી જ તેમના ઉમેદવારી પત્રો રજૂ કરશે, જ્યારે બાકીના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. બોટાદ જિલ્લા પંચાયત માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:
રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં સંગઠન દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા અને શક્તિ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેર ભાજપના અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલાએ પક્ષમાં કોઈપણ પ્રકારના જૂથવાદ કે આંતરિક ખેંચતાણ હોવાની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામની જાહેરાત પ્રદેશ નેતૃત્વની એક લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે અને ગમે તે ઘડીએ નામો જાહેર થઈ શકે છે, પરંતુ પક્ષનું સંગઠન અત્યારથી જ ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે 'વિજય વિશ્વાસ સંમેલન' યોજાશે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે શહેર ભાજપના અગ્રણીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઈ દુધાત્રા અને રાજુભાઈ ધ્રુવ સહિતના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી હતી. નેતાઓએ સભાના મંડપ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને કાર્યકરોને જરૂરી સૂચનાઓ આપી હતી. હજુ ઉમેદવારોના નામ બાકી હોવા છતાં આ પ્રકારે તૈયારીઓ કરવી એ ભાજપની કેડર-બેઝ્ડ કાર્યપદ્ધતિ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. વિરેન્દ્રસિંહ ઝાલાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ટિકિટ ફાળવણીમાં થઈ રહેલા વિલંબ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, નામો નક્કી કરવામાં કોઈ વિવાદ નથી. પ્રદેશ નેતૃત્વ દ્વારા દરેક પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. કાલથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ જાહેર થવાનું શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટ મહાપાલિકા અને જિલ્લાના નામો પણ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ટિકિટ ફાળવણીમાં ધારાસભ્યો કે સંસદ સભ્યોના કોઈ વ્યક્તિગત દબદબાની વાત પાયાવિહોણી છે. તમામ નિર્ણયો પક્ષના વરિષ્ઠ આગેવાનોના સંકલન અને કાર્યકરોના અભિપ્રાય મુજબ જ લેવામાં આવે છે. આવતીકાલના કાર્યક્રમ અંગેની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, રાજકોટનાં તમામ 18 વોર્ડના સંભવિત ઉમેદવારો અને હજારોની સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થશે. અહીં સૌ પ્રથમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ યોજાનારા સંમેલનમાં ભાજપ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. આ સંમેલન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે રવાના થશે. ભાજપના આક્રમક અભિગમ સામે કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે, પરંતુ ભાજપે સંગઠનાત્મક સ્તરે વહેલી તૈયારીઓ કરીને પ્રચારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પેજ સમિતિથી લઈને શહેરના હોદ્દેદારો સુધીના તમામ સ્તરે કાર્યકરોને સક્રિય કરી દેવામાં આવ્યા છે. ભાજપ માટે વ્યક્તિ કરતા પક્ષનું નિશાન 'કમળ' મહત્વનું હોવાનો સંદેશ આ શક્તિ પ્રદર્શન દ્વારા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આવતીકાલે ફોર્મ ભરાયા બાદ રાજકોટમાં ચૂંટણી જંગ વધુ તેજ બનશે અને રાજકીય ગતિવિધિઓ નવા વળાંક લેશે તેવી પૂરી શક્યતા છે.
વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર બળવો જોવા મળી રહ્યો છે. પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવયેલા રહેતા અંકિતા પરમારની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે આ બેઠક ઉપરથી નયના પરમારની ટિકિટ કપાતા તેઓએ હવે બળવો પોકાર્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેઓના પતિએ જાહેરાત કરી દીધી છે કે, આગામી 11 એપ્રિલે તેઓ અપક્ષ તરીકે ફોર્મ ભરશે. પોર બેઠકના નયના પરમાર પ્રબળ દાવેદાર હતા જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર નયના પરમારને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. તેઓના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના બે ટર્મ સુધી સરપંચ રહી ચૂક્યા છે. નયના પરમારના અભ્યાસની વાત કરીએ તો તેઓ ગુજરાતીમાં એમ.એ.બીએડ, થયેલા છે. આ ઉપરાંત નર્સિંગમાં તેઓએ એમએસડબલ્યુ કર્યું છે. ઉચ્ચ શિક્ષિત નયના પરમારને જિલ્લાના એક ધારાસભ્યે સપોર્ટ પણ આપ્યો હતો. જો કે, અન્ય એક ધારાસભ્યએ એક ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા હોદ્દેદાર અને પૂર્વ હોદ્દેદાર સાથે મળીને નયના પરમારની ટિકિટ કપાવી અંકિતા પરમારનું નામ જાહેર કારવ્યું હોવાની ચર્ચા છે. ફેસબુક ઉપર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત નયના પરમારના પતિ રાજેશ પરમાટે ટિકિટ કપાયા બાદ ફેસબુક ઉપર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, જનતાની તાકાત એ જ સાચો વિકાસ. 11 એપ્રિલના રોજ પોર જિલ્લા પંચાયત સીટ અપક્ષ ઉમેદવાર નયના પરમાર ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ લડત કોઈ પક્ષ માટે નથી, આ લડત છે જનતાના હક, વિકાસ અને ન્યાય માટે. ગામના દરેક પ્રશ્નને અવાજ આપવાનો સંકલ્પ સાથે, આપ સૌને હાર્દિક આમંત્રણ છે. ફોર્મ ભરવા સમયે હાજર રહી આશીર્વાદ આપશો. ઇન્સ્ટા ગર્લ અંકિત પરમાર અને નયના પરમારની લડાઈ રીલ બનશે કે રિયલ? તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમાર રીલ બનાવવામાં માહિર છે. તેઓના ઇન્સ્ટાગ્રામ ઉપર લાખો ફોલોઅર્સ પણ છે. તેઓ રીલ લાઈફમાં ખુબ જ સક્રિય છે, ત્યારે હવે ચૂંટણીના આ જંગમાં ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમાર અને નયના પરમાર વચ્ચેની લડાઈ રીલ એની રહે છે કે રિયલ બની રહે છે તે જોવું રહ્યું. જો કે એક જૂથ એમ પણ માની રહ્યું છે કે, ભાજપ નયના પરમાર અને રાજેશ પરમારને મનાવવાની પણ કોશિશ કરશે. અંકિતા પરમાર હાલમાં જ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ બન્યા છે પ્રદેશ સંગઠનનું તાજેતરમાં આજ ગઠન કરવામાં આવ્યું છે, જેમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના યુવા સંસદ ડો. હેમાંગ જોષીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા રાજ્યમાં પોતાની નવી ટીમ નક્કી કરવામાં આવી હતી, ત્યારે તેમાં અંકિતા પરમારને ઉપપ્રમુખ તરીકેની નિમણુંક આપવામાં આવી છે. ત્યારે એવી પણ ચર્ચા છે કે, ભાજપે અંકિત પરમારને તાલુકા પંચાયતના યુવા મોરચાના ઉપપ્રમુખ બનાવ્યા ત્યારે અન્ય કાર્યકરોને પણ પ્રોત્સાહન આપવું જોઈતું હતું. ત્યારે હવે આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું.
ભરૂચમાં 6 ફૂટનો ધામણ સાપ ઝડપાયો:આશુતોષ-1 વિસ્તારના મકાનમાંથી રેસ્ક્યુ કરાયો
ભરૂચ શહેરના આશુતોષ-1 વિસ્તારમાં એક મકાનમાંથી આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ ઝડપાયો હતો. નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય હિરેન શાહે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. મકાનમાં સાપ દેખાતા મકાન માલિકો અને આસપાસના રહેવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ હિરેન શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાવચેતીપૂર્વક ધામણ સાપને પકડી લીધો હતો. સાપને સુરક્ષિત રીતે પકડીને તેને માનવ વસાહતથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સોશ્યલ મીડીયામાં સખત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુત્રાપાડા વિસ્તારમાં હથિયારો સાથે ફોટા વાયરલ કરી લોકમાનસમાં ખોટી દહેશત ફેલાવનાર એક ઇસમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન એસ.ઓ.જી. શાખાની ટીમ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી અજય ઉર્ફે દાદા અમુભાઈ શુકલ (ઉ.વ. 30) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનું મૂળ વતન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી વિસ્તારમાં છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી પોતાના હાથમાં એરગન, તલવાર અને છરી જેવા હથિયારો લઈને ફોટા પાડી સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો, જેના કારણે લોકોમાં ભય અને ખોટી દહેશત ફેલાતી હતી. પોલીસે આરોપી પાસેથી મોટી એરગન – રૂ. 1000, નાની લાઇટર એરગન – રૂ. 100, ધાતુની તલવાર – 2 નંગ (રૂ. 1000), ધાતુની છરી – 1 નંગ (રૂ. 100) કુલ મુદામાલ કિંમત રૂ. 2200 નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા તથા પી.એસ.આઈ. આર.એચ. સુવા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દેવદાનભાઈ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સોશ્યલ મીડીયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને હથિયાર સાથેના ફોટા કે વીડિયો અપલોડ કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ ન કરે, નહિતર કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. તા.01 એપ્રિલ, 2026ના રોજ જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ જિલ્લામાં જિલ્લા પંચાયત-01, તાલુકા પંચાયત-06 અને નગરપાલિકા-04 માટે મતદાન તા.26 એપ્રિલે યોજાનાર છે, જ્યારે મતગણતરી તા.28 એપ્રિલે હાથ ધરાશે. ચૂંટણી દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભયતાપૂર્વક મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં ચુસ્ત નજર રાખવા માટે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 15 ચેકપોસ્ટથી જિલ્લામાં ચુસ્ત ચેકિંગ ચૂંટણી પૂર્વે જિલ્લામાં કુલ 15 પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 3 આંતરરાજ્ય, 5 આંતરજિલ્લા અને 7 આંતરિક ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. દરેક ચેકપોસ્ટ પર આધુનિક સાધનો સાથે સજ્જ પોલીસ ફોર્સ તૈનાત છે. બેરિકેડિંગથી લઈ બોડીવોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઈઝર સુધીની વ્યવસ્થા સાથે 24 કલાક સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. હથિયારો જમા કરાવવાની ઝુંબેશ તેજ જિલ્લામાં નોંધાયેલા કુલ 433 હથિયાર પરવાનાધારકોમાંથી અત્યાર સુધીમાં 322 હથિયારો જમા લેવાયા છે, જ્યારે બાકીના હથિયારો જમા કરાવવાની કાર્યવાહી યથાવત છે. ચૂંટણી દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે આ ઝુંબેશને ઝડપી બનાવાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પોલીસ સાથે જી.આર.ડી., એસ.આર.ડી. અને હોમગાર્ડ દળ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સાંજ અને પીક અવર્સ દરમિયાન પોલીસની હાજરી વધારવામાં આવી છે, જેથી કોઇ પણ પ્રકારની અશાંતિ ફેલાવા પામે નહીં. 1049 લોકો સામે અટકાયતી પગલાં ચૂંટણી જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં કુલ 1049 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત 40 હિસ્ટ્રીશીટરો પર સતત નજર રાખવામાં આવી રહી છે. બિનજામીનલાયક વોરંટની અસરકારક અમલવારી માટે પણ પોલીસ દળ સક્રિય બન્યું છે. દારૂબંધીના કડક અમલ માટે પોલીસે 91 પ્રોહીબિશન રેઇડ હાથ ધરી છે, જ્યારે જુગાર સામે 3 રેઇડ કરવામાં આવી છે. જેમાં દેશી દારૂના 587 લિટર (રૂ.1,17,409) અને ઇંગ્લિશ દારૂની ૧૯૪ બોટલ (રૂ.73,264) સહિત કુલ રૂ.5,53,389નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પાલિકાની ચૂંટણી પૂર્વે આપ પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગત રોજ બપોરે વોર્ડ નં. 12માં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર ડોક્ટર પ્રીતિ સદાદીયાએ રાજીનામું આપી દીધું હતું. આ વાતની તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પણ પુષ્ટી કરી હતી. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં જારી કરેલા 98 ઉમેદવારો પૈકી કેટલાક વિવાદિત નામો હોવાથી પાર્ટી માટે કમર કસનારા કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે નારાજગી છે. ડોક્ટર પ્રીતિની સાથે 500 કાર્યકર કોંગ્રેસમાં જોડાયાપ્રીતિ સદાદિયાની સાથે સાથે જ 500 જેટલા સક્રિય કાર્યકરોએ સામુહિક રીતે પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ વિવાદ વચ્ચે આપે બીજી ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં પણ વિવાદોમાં ઘેરાયેલાઓને ટિકિટ અપાતા કાર્યકર્તાઓમાં ભારે નિરાશા ફેલાઇ ગઇ હતી. એટલું જ નહીં, પરંતુ ગત યાદીમાં કેટલાક નામો સામે વિરોધ ઊભા થતા બે ઉમેદવારોના નામ રદ કરી અન્ય બેને ટિકિટ આપવામાં આવી છે. ‘રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને કોંગ્રેસમાં જોડાઈ’ડોક્ટર પ્રીતિ સદાદીયાએ જણાવ્યું હતું કે, હું લગભગ રાજકારણમાં છેલ્લા છ-સાત વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન, મન, ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરી સેવા પણ આપી છે. એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું. પરંતુ આમ આદમી પાર્ટીએ સમાનતા નહીં પરંતુ સારા લોકો સાથે દગો કર્યો છે. આજ રોજથી કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના, માનવ સેવાના વિચારો છે, તેનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું. ‘નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માને છે’ટિકિટ મળવા છતાં રાજીનામું આપનાર પ્રીતિ સદાદિયાએ આપ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક ભડકતી પોસ્ટ કરતા આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના સ્થાનિક મોવડી મંડળ દ્વારા લેવામાં આવતા નિર્ણયો સાથે હું અત્યંત નિરાશ છું, મારા નૈતિક મૂલ્યો અને પાર્ટીની હાલની દિશા વચ્ચે સ્પષ્ટ તફાવત જણાય છે, કારણકે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માને છે. જેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ વોર્ડ બ્લોક ઇન્ચાર્જ પદ તથા ફાળવવામાં આવેલી વોર્ડ નંબર 12ની ટિકિટનો અસ્વીકાર કરી રાજીનામુ આપી રહી છું. જેની લગતા વળગતાઓ એ નોંધ લેવી. વોર્ડ નં.26ના ગત ચૂંટણી લડેલા ઉમેદવાર ડોક્ટર નીતા બલદાણીયાનું રાજીનામુંજ્યારે ડોક્ટર નીતા બલદાણીયાએ આપમાંથી રાજીનામું આપતા જણાવ્યું હતું કે, હું પાર્ટીની મૂળ વિચારધારા અને સમાજ સેવાના ઉદ્દેશ સાથે જોડાઈ હતી. પરંતુ હાલ સુરત શહેરની સ્થાનિક રાજકીય સ્થિતિ અને પાર્ટીની કાર્ય પધ્ધતિમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે મારા મૂલ્યો અને આશા ઓ સાથે મેળ ખાતી નથી. સ્થાનિક સ્તરે સંકલનનો અભાવ, કાર્યકર્તાઓ સાથે યોગ્ય સંવાદનો અભાવ અને નિર્ણયઓ લેવામાં પારદર્શિતાનો અભાવ અનુભવાયો છે. જેના કારણે કાર્યકર્તા તરીકે કાર્ય કરવું મુશ્કેલ બની રહ્યું છે. મારા માટે સેવા અને ટીમવર્ક મહત્વપૂર્ણ છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તે મુજબ કાર્ય કરવાની તક મળી રહી નથી. આ કારણે હું પાર્ટીમાં મારી ઉપર સોંપવામાં આવેલી તમામ જવાબદારીઓ તેમજ કાર્યકર્તા તરીકે જ પદ પરથી તત્કાલ અસરથી રાજીનામુ આપી રહી છું. વોર્ડ નંબર 2ના સહ કન્વીનર અશોક બલરનું રાજીનામુંઅશોક બલરે રાજીનામુ આપતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 5 ની ઉમેદવાર પસંદગી સામે આંગળી ચીંધી છે. તેમના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે. જે અગાઉ ‘આપ’ના ઉમેદવાર સામે જ હાર્યા હતા. સંબંધિત વ્યક્તિ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ પક્ષ છોડીને જતા રહ્યા હતા, તેમ છતાં તેમને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, જો પક્ષે 'નળિયાચોર' કે ચારિત્રહીન લોકોને જ ટિકિટ આપવી હોય, તો અમે આવા રાજકારણનો હિસ્સો બનવા માંગતા નથી. જ્યારે પક્ષ પોતાના મૂળ રસ્તા પરથી ભટકી રહ્યો હોય ત્યારે પદ પર વળગી રહેવાનો કોઈ અર્થ નથી. હવે પછીની રણનીતિ અને ચૂંટણી લડવી કે કેમ, તે અંગેનો નિર્ણય આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જ જનતા સમક્ષ મૂકવામાં આવશે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવાની સાથે જ વિવાદમાં ઘેરાયેલી આપ પાર્ટી દ્વારા બીજી યાદીમાં બે નામો સુધારવાની ફરજ પડી હતી. પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદીમાં વોર્ડ નંબર-4માં સેજલ માલવિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી હતી. જયારે વોર્ડ નંબર-13માં જતીન જરીવાલાને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક અગ્રણીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા છેલ્લી ઘડીએ સેજલ માલવિયાની જગ્યાએ કુંદન કોઠિયા અને જતીન જરીવાલની જગ્યાએ સુશાંત કાપડિયાના નામ જાહેર કરાયા હતા. લાંચ કેસના આરોપી જિતેન્દ્ર કાછડિયાને ટિકિટ આપતા વિવાદલાંચ મામલે એસીબીના કેસમાં વિવાદિત જિતેન્દ્ર કાછડિયાને ફરીથી ટિકિટ આપવામાં આવતા પાર્ટી પાસે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ન હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. વરાછા ઝોનમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર સાથે થયેલા વિવાદમાં એસીબીમાં પણ તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી અને મોટો વિવાદ સર્જાયો હતો. આપ પાર્ટી દ્વારા આવા વિવાદિત ઉમેદવારોને ફરી મોકો અપાતા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી સંભાવના છે. પાર્ટી છોડીને ગયેલા દિનેશ કાછડિયાને ફરી ટિકિટ આપીથોડા સમય પહેલાં જ આપમાંથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને વોર્ડ નંબર-5માંથી ઉમેદવાર જાહેર કરાયા છે. અગાઉ આપ સામે જ કોંગ્રેસમાંથી લડેલા અને પછી આપમાં જોડાયેલા, હતી જતા પાછળથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને ટિકિટ અપાતા ભારે વિરોધ થઇ રહ્યો છે. ભુતકાળમાં પણ એક વિચિત્ર પ્રકરણને લઈ વિવાદમાં ફસાયા હતા. આપ પાર્ટીના ઘણાં કાર્યકરો પણ શંકાની નજરે જોઇ રહ્યા છે.
ફેસબુક ફ્રેન્ડની માયાજાળમાં ફસાયા વૃદ્ધ:ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણના નામે યુવતીએ ₹24.40 લાખ પડાવ્યાં
અમદાવાદના એક વૃદ્ધ સાથે અજાણી યુવતીએ ફેસબુક પર મિત્રતા કેળવીને વૃદ્ધને વિશ્વાસમાં લઈને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહીને વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે 24.40 લાખ રૂપિયા પડાવ્યા છે. જે બાદ યુવતીએ વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વૃદ્ધને પૈસા પરત ન મળતા વૃદ્ધે છેતરપિંડી મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ મિત્રતા કેળવી રોકાણ કરવા કહ્યુંશાહપુરમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વૃદ્ધ નિયમિત રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વપરાશ કરે છે. 29 ઓગસ્ટ, 2025ના રોજ ફેસબુક પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે એક્સેપ્ટ કરીને વૃદ્ધ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ યુવતીએ વૃદ્ધને મોબાઈલ નંબર આપ્યો હતો અને બંને વ્હોટ્સએપ પર મેસેજથી સાથે વાત કરતા હતા. આ દરમિયાન યુવતીએ વૃદ્ધને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું. વૃદ્ધ યુવતીની વાતોમાં આવી ગયા અને સારા નફાની લાલચમાં રોકાણ કરવા તૈયાર થયા હતા. બે મહિનામાં 24.40 લાખનું રોકાણ કર્યુંયુવતીએ મોકલેલી લીંક પર રજિસ્ટ્રેશન કરાવી બેંકની વિગત આપીને વૃદ્ધે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. બે મહિનામાં 24.40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ કર્યા બાદ પૈસા પરત માંગતા યુવતીનો ફોન બંધ આવતો હતો અને કોઈ જવાબ પણ મળતો નહોતો. જેથી વૃદ્ધને તેમના સાથે થયેલી ઠગાઈની જાણ થઈ હતી. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની ‘પરંપરા’ છે ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે. અમદાવાદ-રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભરાયા છે, જેના કારણે હાઇકમાન્ડ પણ અવઢવમાં છે. સુરત AAPમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નં.12માં ગઇકાલે બપોરે ટિકિટ ફાળવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ઉમેદવાર પ્રીતિ સદાદિયા સહિત 500 સક્રિય કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ઇનચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, પીએસઆઈ ડી.એલ. ઝેઝરીયા (નેત્રમ)ની સૂચનાથી તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, જાહેર જનતાની ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ જેવી કે સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, પર્સ વગેરે નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવીની મદદથી શોધીને મૂળ માલિકોને પરત કરવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં, સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટીમાં રહેતા અરજદાર જૈમિનિબેન દુદાભાઈ પતરાવાળી ચોક પાસેથી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમનો સામાન ભરેલો બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. આ અંગે 'નેત્રમ' ખાતે જાણ કરવામાં આવતા, નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી રીક્ષાની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે રીક્ષા ચાલકનો સંપર્ક કરીને જૈમિનિબેનનો રૂ. 4000નો સામાન ભરેલો બેગ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી પરત કર્યો હતો. તેવી જ રીતે, સનફ્લાવર સ્કૂલ પાસે રહેતા અરજદાર જીતુભાઈ જવાનજી ઠાકોર પણ સનફ્લાવર સ્કૂલ પાસેથી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમનો સામાન ભરેલો બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. 'નેત્રમ' દ્વારા સીસીટીવીની મદદથી રીક્ષા અને ચાલકનો સંપર્ક કરીને તેમનો બેગ પણ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પરત કરવામાં આવ્યો હતો. આ બંને કિસ્સાઓમાં સુરેન્દ્રનગર પોલીસે નેત્રમ કેમેરાની મદદથી પ્રશંસનીય કામગીરી કરી છે, જેનાથી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક થયું છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ચામુંડા માતાજીનો પ્રથમ પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. મોડાસા, મોહનપુર અને બાયડ પરગણા સહિત હજારો ભક્તો આ પવિત્ર અવસરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ મોડાસાના હિંમતનગર રોડ પર આવેલા દૂધેશ્વરી માતાજી મંદિરમાં સ્થિત ચામુંડા માતાજીના ધામે યોજાયો હતો. આ મંદિર, જે આજે હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે, તેની સ્થાપના વર્ષ 2025માં 108 કુંડી મહા યજ્ઞ અને ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા કરવામાં આવી હતી. અક્ષર પરિવાર યુવક મંડળ તેમજ અક્ષર પરિવાર પંચ મોડાસા, મોહનપુર અને બાયડના સહયોગથી આ પવિત્ર કાર્ય સાકાર થયું હતું. પાટોત્સવના પાવન અવસરે દૂધેશ્વરી માતાજી મંદિર સબલપુરના પૂજારી અને સમાજના ગોર રાકેશકુમાર પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞકુંડમાંથી ઉઠતી અગ્નિ જ્વાળાઓથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. મોડાસા, મોહનપુર અને બાયડના ત્રણ પરગણાના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. નાનાથી લઈને વૃદ્ધ સુધીના શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મંદિર પરિસરમાં આરતી સાથે ભક્તિનો માહોલ સર્જાયો હતો અને જય માતાજીના નાદ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે રાસ-ગરબા અને ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ ઉપરાંત, મહાપ્રસાદનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી. સેવાભાવી કાર્યકરો અને યુવક મંડળના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે આખો કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો. ભક્તોની અખૂટ આસ્થા છે કે માં ચામુંડા માતાજી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. આ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રથમ પાટોત્સવને ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. આ પાવન પ્રસંગે મોડાસા શહેર ભક્તિમાં તરબોળ થઈ ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એલ. દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિરમાં 9 એપ્રિલના રોજ દ્વિતીય વર્ષ તાલીમાર્થી બહેનોનો શુભેચ્છા પર્વ અને દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રેમની પરબના ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ સમારોહમાં પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનો દ્વારા સરસ્વતી વંદના કરતું પ્રાર્થના નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. દ્વિતીય વર્ષના બહેનોએ તેમના બે વર્ષના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને વિદાય ગીત રજૂ કર્યું હતું. આ ઉપરાંત, તાલીમાર્થીઓને બે વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. પૂજ્ય વિનોદિનીબેન શાહની પુણ્ય સ્મૃતિમાં તાલીમાર્થીઓને શિલ્ડ અને 'હરિરસ' પુસ્તક પણ અર્પણ કરાયા હતા. આદરણીય ચંદ્રકાંતભાઈ વ્યાસે કર્મયોગ અને નિષ્ઠાપૂર્વકના શિક્ષક જીવન વિશે અનેક દ્રષ્ટાંતો દ્વારા તાલીમાર્થીઓને જીવનભરનું ભાથું પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના પારસભાઈ શાહ, મંત્રી દીપકભાઈ શાહ, આચાર્ય અલકાબેન દેવમુરારી, ડો. સુમિતાબેન મેઢા અને અધ્યાપક ઇન્દુબેન વસાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સર્વે તાલીમાર્થી બહેનોને તેમના ભાવિ શિક્ષક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
નરોડા કોલેજમાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો:બી.એ. અને બી.કોમ સેમ 6 ના વિદ્યાર્થીઓ માટે આયોજન
નરોડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એ.પી. પટેલ આર્ટસ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા બી.એ. તથા બી.કોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરોડા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી પી.કે. પટેલ વિદ્યા સંકુલના ડાયરેક્ટર ડૉ. રમેશભાઈ ચૌધરી અને કારોબારી સભ્ય પૂનમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સૂત્રમાળાથી સ્વાગત કરાયું હતું. વિદાય સમારોહ દરમિયાન, સેમેસ્ટર 6 ના પાંચ વિદ્યાર્થીઓએ કોલેજમાં તેમના ત્રણ વર્ષના અનુભવો અને વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરી હતી. અંગ્રેજી વિભાગના પ્રોફેસર જગદીશભાઈએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઋણ સ્વીકાર રૂપે, જી.એસ. ભૂમિ ચૌહાણ અને એલ.આર. ખુશ્બુ કેવટના હસ્તે નરોડા કોલેજને સ્મૃતિ ભેટ તરીકે તિજોરી અર્પણ કરવામાં આવી હતી. વાર્ષિકોત્સવના ભાગરૂપે, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતિએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે, વિવિધ વિષયોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કંકુબા, જગજીવનભાઈ પટેલ, ગોરલ સુથાર, ડૉ. ગીતાબેન મહેતા, પ્રો. મયુષભાઈ પટેલ, ડૉ. રમીલાબેન ભટ્ટ અને ડૉ. રમેશભાઈ ચૌધરી શિષ્યવૃત્તિઓ એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીની બી.એ. પરીક્ષામાં સંસ્કૃત અને હિન્દી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવનાર સંજના જયસ્વાલ, કરીના રાજપૂત અને સિદ્ધાર્થ સિંહને ટ્રોફી અને કવર આપી સન્માનિત કરાયા હતા. રમતગમત વિભાગમાં, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં રમેલા સાત ખેલાડીઓને ટ્રોફી, ટ્રેક અને કવરથી સન્માનિત કરવામાં આવ્યા. સાંસ્કૃતિક વિભાગમાં, ઇન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં પ્રથમ સ્થાન મેળવનાર ધૈર્ય જોષી અને તૃતીય સ્થાન મેળવનાર રોશની મિશ્રા, તેમજ સિટી ઝોનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રોનક મકવાણાને ટ્રોફી એનાયત કરવામાં આવી. એન.એસ.એસ. વિભાગના બે શ્રેષ્ઠ સ્વયંસેવકોને પણ ટ્રોફીથી સન્માનિત કરાયા હતા. વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવનું સંચાલન ડૉ. પારુલબેન પટેલે કર્યું હતું, જ્યારે ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન પ્રો. ધીરેન્દ્રભાઈ સુથારે કર્યું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ જી.એસ. ભૂમિ ચૌહાણે કરી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સમાપ્ત થયો, ત્યારબાદ સૌએ પ્રીતિ ભોજન લીધું.
વિશ્વ હિન્દુ પરિષદ બોટાદમાં સમરસતા યાત્રા કાઢશે:શ્રી ગોકુળિયાનાથ જગ્યાએથી શરૂઆત, 10 એપ્રિલે યોજાશે
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા બોટાદ શહેરમાં 'સમરસતા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 10 એપ્રિલ, 2026 (શુક્રવાર) ના રોજ સવારે 9:00 કલાકે શ્રી ગોકુળિયાનાથની જગ્યા, સાળંગપુર રોડ, બોટાદથી શરૂ થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતાનો ભાવ લાવવાનો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ સમસ્ત હિંદુ સમાજને આ યાત્રામાં જોડાવવા માટે અપીલ કરી છે. બજરંગ દળના કાર્યકર્તાઓને તેમના ત્રિશુલ અને બેલ્ટ સાથે બાઈક પર સવારે 9:00 કલાકે નિર્ધારિત સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
ઇન્ડસ યુનિવર્સિટી, WIIA અને ઇન્ડસ સ્ટુડન્ટ એક્ટિવિટી સેલ (iSAC) દ્વારા 8 એપ્રિલ, 2026ના રોજ મંડપમ્ માટી કી મહેક શીર્ષક હેઠળ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાનો અને ભક્તિમય થીમ પર આધારિત હતો. તેમાં સંગીત, નૃત્ય, કાવ્ય પઠન અને વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓ દ્વારા સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રથમ વખત ભજન ક્લબિંગ વિભાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું. iSAC ના વિદ્યાર્થીઓ દ્વારા આ અનોખી રજૂઆત તૈયાર કરવામાં આવી હતી, જેનાથી ઉપસ્થિત સૌને એક આધ્યાત્મિક અને યાદગાર અનુભવ પ્રાપ્ત થયો હતો.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી નવી ડેવલપમેન્ટ પ્લાન (DP) અને ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ સામે વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. આ સ્કીમના વિરોધમાં આસપાસના 10 જેટલા ગામોના લોકો હવે એકજૂથ થયા છે. 9 એપ્રિલની રાતે કુકસ ગામે તમામ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનોની એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં તંત્ર સામે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જે રીતે નવી સ્કીમ દાખલ કરવામાં આવી છે તેને લઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે આ સ્કીમ તેમના હિતમાં નથી અને તેનાથી સ્થાનિકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. કુકસ ગામે મળેલી સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ એકસૂરે જણાવ્યું હતું કે, તેઓ આ સ્કીમનો કોઈ પણ ભોગે અમલ થવા દેશે નહીં. વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતાં ખેડૂતોમાં રોષમહેસાણા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સૂચિત વિકાસ નકશાથી શહેરના પૂર્વ વિસ્તારમાં વસતા હજારો ખેડૂત પરિવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિકાસના નામે આવી રહેલા હાઈવે અને ડેવલપમેન્ટ પ્લાન 2047 હેઠળ આ આખા વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતાં ખેડૂતોમાં ભારે ફ્ફડાટ અને રોષ વ્યાપ્યો છે. પોતાની માતૃ સમી જમીનો કપાતમાં જતી રોકવા માટે તાવડિયા, દેલા, ઉચરપી, રામપુરા, હેબુવા, શોભાસણ, કુકસ, લાખવડ, વિરમપુરા, દેત્રોજપુરા અને રૂપાલ સહિતના 10 ગામોએ હવે આરપારની લડાઈ લડવા જમીન બચાવો એક્શન કમિટીની રચના કરી છે. ખેતીલાયક જમીનના ટુકડા કરી દેવાનું રાજકીય પડયંત્રઃ ખેડૂતો આ વિકાસ નકશાથી ખેડૂતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, જમીન જવાથી ખેડૂતનો વિકાસ થાય કે વિનાશ? પૂર્વની પટ્ટીમાં નવા આવી રહેલા હાઈવે વચ્ચે ખેતી ઘેરાઈ છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, પૂર્વ વિસ્તારમાં માત્ર 2 કિલોમીટરના અંતરમાં ત્રણ મોટા રસ્તાઓનું આયોજન કરી ખેતીલાયક જમીનના ટુકડા કરી દેવાનું રાજકીય પડયંત્ર રચાયું છે. થરાદ-અમદાવાદ ભારતમાલા હાઈવે, મહેસાણા-ઈડર નેશનલ હાઈવે, 80 મીટરનો સૂચિત રિંગ રોડ આ પ્રોજેક્ટ્સને કારણે વર્ષોથી ખેતી અને પશુપાલન પર નભતા પરિવારો પાસે હવે જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં રહે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મૂળભૂત અધિકાર પર તરાપ હોવાનો આરોપમહાનગરપાલિકાએ ઈન્ડસ્ટ્રીયલ ઝોનનો ફાંસો આપતાં ખેડૂત પોતાની જમીન પર ખેતી નહીં કરી શકે. સૌથી મોટો વિરોધ મહેસાણા ડેવલપમેન્ટ પ્લાન 2047 સામે છે. આ પ્લાન મુજબ પૂર્વ વિસ્તારને સંપૂર્ણ પણે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે આવનારા સમયમાં ખેડૂત પોતાની જ જમીન પર ખેતી કે પશુપાલન કરી ન શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ નિર્ણય ખેડૂતોના મૂળભૂત અધિકાર પર તરાપ હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલનની રણનીતિ તૈયારઆ મુદ્દે સ્થાનિક આગેવાન કિરણ ચૌધરી સહિતના લોકોએ જણાવ્યું કે, તેઓએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને કાનૂની લડત તો ચાલુ જ રહેશે. પરંતુ હવે સમય આવી ગયો છે કે તમામ 10 ગામના લોકો સંગઠિત થઈને રસ્તા પર ઉતરે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ બેઠકમાં ચૂંટણી બહિષ્કાર જેવા કડક પગલાં ભરવાની પણ ચર્ચાઓ થઈ હતી.તમામ ગ્રામજનોએ એક અવાજે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. હવે જોવાનું એ રહે છે કે ગ્રામજનોના આ ઉગ્ર રોષ સામે તંત્ર નમતું જોખશે કે વિવાદ વધુ વકરશે.
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગત (9 એપ્રિલ) મોડી રાત્રે 2:24 વાગ્યે અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આ ધડાકાભેર આવેલા આંચકાને કારણે રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અને અસરગ્રસ્ત વિસ્તારો સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાવનગર જિલ્લાના મહુવા પાસે નોંધાયું હતું. આ આંચકાની સૌથી વધુ અસર નીચે મુજબના વિસ્તારોમાં જોવા મળી હતી: ભયનો માહોલ અને મકાનોમાં તિરાડો રાજુલા શહેરમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે, કેટલાક જૂના અને કાચા મકાનોની દીવાલોમાં ઝીણી તિરાડો પડી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સ્થાનિક રહેવાસી આરીફ સેલોતે જણાવ્યું હતું કે, રાત્રે 2:24 વાગ્યે એક મોટો અને ત્યાર બાદ અન્ય નાના આંચકા અનુભવાયા હતા, જેના કારણે આખું શહેર રસ્તા પર આવી ગયું હતું. પીપાવાવ રોડ પર ઉભેલા ટ્રક ડ્રાઈવર સલીમભાઈએ જણાવ્યું કે, અમે ગાડી પાર્ક કરીને સૂતા હતા ત્યારે, અચાનક ગાડી હલવા લાગી. અમને લાગ્યું કે કોઈ વાહન અથડાયું હશે, પણ બહાર જોયું તો લોકો 'ધરતીકંપ આવ્યો'ની બૂમો પાડતાં દોડી રહ્યા હતા. મુખ્ય વિગતો એક નજરે CCTVમાં કેદ થઈ ઘટના ભૂકંપના સમયે સર્જાયેલી અફરાતફરી અને ધ્રુજારીના દૃશ્યો અનેક રહેણાક વિસ્તારોના CCTV કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. છેલ્લા આઠ દિવસથી ખાંભા અને સાવરકુંડલાની વચ્ચે સતત અનુભવાઈ રહેલા આંચકાઓને કારણે સ્થાનિક તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મકાનોમાં તિરાડો પડવા માંડી ! સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. સદનસીબે, આ કુદરતી ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે.
26 એપ્રિલે યોજાનારી પાટણ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 4માં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, આ ગરમાવો વિકાસના કામોને લઈને નહીં, પરંતુ વર્ષોથી વણઉકેલાયેલી સમસ્યાઓને લઈને છે. સિદ્ધેશ્વરી પાર્કથી લઈને ઓવરબ્રિજ નીચેની સોસાયટીઓ સુધી જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. મુખ્ય સમસ્યાઓ: નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર રહીશો દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા વોર્ડ નંબર 4ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જ્યાં પાયાની સુવિધાઓના નામે શૂન્યતા જોવા મળી રહી છે: મહિલાઓનો રૌદ્ર અવતાર: વોટ લેવા આવશો નહીં વોર્ડ નંબર 4 માં ખાસ કરીને મહિલાઓમાં ઉગ્ર રોષ છે. સ્થાનિક રહીશ પાર્વતીબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા 8 મહિનાથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ ડોકાતું નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે નેતાઓ ઘરે આવે છે, પણ અત્યારે કોઈ ફોન પણ ઉપાડતું નથી. ગટરની ગંદકીથી કંટાળીને કેટલીક સોસાયટીના રહીશોએ તો પાલિકા પર ભરોસો મૂકવાને બદલે પોતે ફાળો ઉઘરાવીને ગટર લાઈન નાખવાની ફરજ પડી છે, જે પાલિકાની નિષ્ફળતા છતી કરે છે. વોર્ડ નંબર 4: આંકડાકીય વિગત અને જ્ઞાતિ સમીકરણ જનતાનો સવાલ: ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં? રહીશોનું કહેવું છે કે, તેઓ નિયમિત ઘરવેરો અને નળવેરો ભરે છે, છતાં સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે અને અંધારામાં ઝેરી જંતુઓનો ડર લાગે છે. વાળીનાથ ચોકના રહીશોએ સ્વખર્ચે બગીચો બનાવ્યો પણ ત્યાં લાઈટની સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ રહી છે. આગામી 26 એપ્રિલે વોર્ડ નંબર 4ની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને શાસકોને પાઠ ભણાવશે કે કેમ, તે જોવું રહ્યું. પરંતુ હાલ તો 'ચૂંટણી બહિષ્કાર'નો ગુંજતો સૂર નેતાઓની ઉંઘ ઉડાડી રહ્યો છે. --------- આ પણ વાંચો ‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’ દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. વોર્ડ નંબર 1નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 3-3 પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્ પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલની ચૂંટણીને પગલે રાજકીય પારો ગરમાયો છે, પરંતુ વોર્ડ નંબર 2ની વાસ્તવિકતા કંઈક અલગ જ વાર્તા કહે છે. આ એવો હાઈપ્રોફાઈલ વોર્ડ છે, જ્યાં ભાજપના બે પૂર્વ પ્રમુખ (મનસુખ પટેલ, દેવજી પરમાર) અને અન્ય એક પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલનું વર્ચસ્વ છે. આમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત દયનીય છે. દિવ્ય ભાસ્કરની ટીમની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અહી વિકાસ માત્ર કાગળ પર છે અને જનતા પાયાની જરૂરિયાતો માટે પણ તંત્ર સામે ઝઝૂમી રહી છે. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ભાજપનો ગઢ ગણાતો વોર્ડ નં.3 નશાખોરોનો અડ્ડો પાટણ શહેરના વોર્ડ નંબર 3ની સ્થિતિ 'દીવા તળે અંધારું' જેવી જોવા મળી રહી છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. છીંડીયા દરવાજાથી લઈને પારેવા સર્કલ સુધીની ગંદકી અને સુરક્ષાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જન્માવ્યો છે. તો બીજી તરફ ભાજપનો ગઢ ગણાતો આ વોર્ડ નંબર 3 જાણે નશાખોરોનો અડ્ડો બની ગયો છે, જ્યાં જુઓ ત્યાં દારૂની બોટલો જોવા મળી રહી છે. વોર્ડ નંબર 3નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
ગુજસીટોકના એક આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે જામનગર મહાનગરપાલિકા-JMCની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા દેવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માંગ કરી હતી. અરજદાર અલ્તાફ ખફી વતી રજૂઆત કરાઈ હતી કે, તેને પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી આપવામાં આવે. અરજદાર હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તે ન્યાયિક કસ્ટડીમાં ન હોવાથી તે જામીન માંગી શકે તેમ નથી. જામીન મળે તો પણ ત્રીજી FIRના કારણે ધરપકડ થઈ શકેવધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર વિરુદ્ધ તાજેતરમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. પ્રથમ FIRમાં તેની ધરપકડ 2 ફેબ્રુઆરીએ થઈ હતી, જેમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, ગુરુવારે બીજી FIRમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે કસ્ટોડિયલ ઇન્ટેરોગેશન હેઠળ છે. જો તેને જામીન મળે તો પણ 5 એપ્રિલના રોજ તેની સામે નોંધાયેલી ત્રીજી FIRમાં તેની ધરપકડ થઈ શકે છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપી આરોપીને મુક્ત કરવા અપીલ કરીતેના વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે, આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આરોપીને ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે મુક્ત કરી શકાય છે. હાઈકોર્ટે નીચલી અદાલતને નિર્ણય લેવા નિર્દેશ આપ્યોસુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે યોગ્ય ઉપાય માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. અરજદારે નીચલી અદાલતમાંથી રાહત મેળવવા માટે તેની અરજી પાછી ખેંચી લીધી હતી અને હાઈકોર્ટે નીચલી અદાલતને શુક્રવારે અરજદારની અરજી ઉપર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. એક ગુજસીટોક આરોપીએ પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભર્યું હતુંકોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું છે ,કે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જો અરજદાર સંબંધિત ફોરમમાં અરજી સાથે સંપર્ક કરે છે, તો સંબંધિત ફોરમ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પ્રાધાન્યપણે 10 એપ્રિલ, 2026 સુધીમાં તેના પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અન્ય એક ગુજસીટોક આરોપી અસલમ ખિલજીને પોલીસ જાપ્તા હેઠળ રિટર્નિંગ ઓફિસર પાસે લઈ જવામાં આવ્યા બાદ તેણે JMC ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
કચ્છના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઘાસિયા મેદાન અને પક્ષીઓના સ્વર્ગ સમાન છારીઢંઢ રામસર સાઈટમાં વન્યજીવનના નિયમોના ઉલ્લંઘનનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાની લાલસામાં કેટલાક કથિત ઇન્ફ્લ્યુએન્સર દ્વારા આ સંવેદનશીલ વિસ્તારમાં નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને આ મામલે પકડી માફી પણ મંગાવાઈ છે . આશરે ત્રણ અઠવાડિયા જૂના વાયરલ વીડિયોની તપાસ કરતા વન વિભાગને જાણવા મળ્યું હતું કે,પાંચ જેટલા ઈસમોએ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી ત્યાં ડ્રોન દ્વારા શૂટિંગ કર્યું હતું અને ઘરેથી લાવેલા નોનવેજની મિજબાની માણી હતી. નખત્રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયકુમાર મોદીએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમે આ પાંચેય શખ્સોની શોધખોળ કરી તેમને પકડી પાડ્યા હતા. વન વિભાગની કડક પૂછપરછ અને સૂચના બાદ આ તમામ ઇસમોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને વન વિભાગ સમક્ષ લેખિતમાં માફી માંગી હતી કે પ્રવાસીઓને આકર્ષવા આ પ્રકારના વિડીયો તેઓ બનાવતા હતા. માંસાહાર માટેની સામગ્રી તેઓએ શિકાર કરીને ઊભી કરી કે ઘેરથી લાવ્યા તે ચર્ચાનો અને તપાસનો વિષય છે. ડ્રોન પણ પ્રતિબંધીત હોવા છતાં બેરોકટોક ઉપયોગ કરાયાનું વીડિયોમાં દેખાય છે વનવિભાગની તપાસમાં શિકાર ન હોવાનું ખુલ્યું ; પણ જોખમ મોટુંઆર.એફ.ઓ મોદીએ જણાવ્યું કે, વન વિભાગની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે, આ પાર્ટી દરમિયાન કોઈ વન્યપ્રાણી કે પક્ષીનો શિકાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેઓ ઘરેથી ચિકન લાવ્યા હતા. જોકે, રામસર સાઈટ જેવા અત્યંત સુરક્ષિત અને શાંત વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ વન્યજીવો માટે જોખમી સાબિત થઈ શકે છે. જે રીતે ગીરના જંગલોમાં નોનવેજ પાર્ટીઓથી વન્યપ્રાણીઓ લલચાઈને માનવ વસાહત તરફ આવે છે, અને ક્યારેક શિકારનો ભોગ બને છે તેવી જ દહેશત અહીં પણ વ્યક્ત કરવામાં આવી છે. રોડ ટુ હેવન પક્ષીઓ માટે ‘હેલ’ ન બનેછારીઢંઢમાં વીડિયો દ્વારા નિયમોનું ઉલ્લંઘન દેખાતું હતું તે સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરાયો છે. ડ્રોનનો ઉપયોગ અને ઘોંઘાટથી સ્થળાંતરિત પક્ષીઓને ખલેલ પહોંચે છે. સમાન સ્થિતિ રોડ ટુ હેવનમાં છે. કલેકટરનું જાહેરનામું છે, અહીં નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે પણ ‘રીલ’ ના ચક્કરમાં વ્યૂ મેળવવા માટે કથિત ઇન્ફ્લ્યુએનસર અહીં શૂટ કરે છે જે સુરખાબ માટે અત્યંત જોખમી છે. આ મુદ્દે પોલીસ-વહીવટીતંત્ર અને વનવિભાગે સંયુક્ત કાર્યવાહી કરવી આવશ્યક છે.
આગામી 26 ડિસેમ્બરના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ તેજ બની છે, ત્યારે ચૂંટણી કામગીરીના હૂકમોને લઈને શિક્ષકોમાં જોવા મળતી મુંઝવણો અંગે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને કોષાધ્યક્ષ કાંતિભાઈ સુથારની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ભુજ પ્રાંત અધિકારી એ.બી. જાદવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. શિક્ષક સંઘે ખાસ કરીને એવી મહિલા કર્મચારીઓ કે જેઓ હાલ પ્રસૂતિ રજા પર છે અથવા જેઓ ધાત્રી માતાઓ છે, તેમના ચૂંટણીલક્ષી હૂકમો માનવીય અભિગમ દાખવી રદ્દ કરવા માંગ કરી છે. આ ઉપરાંત, ગંભીર બીમારીથી પીડાતા અને શારીરિક રીતે અશક્ત શિક્ષકોને પણ આ કપરી ફરજમાંથી મુક્તિ આપવા જણાવાયું છે. રજૂઆતમાં જણાવાયુ છે કે અનેક શિક્ષકોને 12 એપ્રિલના રોજ ટેટ (TET-HS) ની પરીક્ષા આપવા માટે જિલ્લા બહાર જવાનું છે. આ સંજોગોમાં જો તે જ દિવસે ચૂંટણીલક્ષી તાલીમ ગોઠવવામાં આવે તો શિક્ષકોને અન્યાય થઈ શકે તેમ છે, જેથી તાલીમની તારીખોમાં યોગ્ય ફેરફાર કરવા રજૂઆત કરાઈ છે. વધુમાં, બી.એલ.ઓ. (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પ્રિસાઇડિંગ અધિકારીને બદલે પ્રથમ મતદાન અધિકારી તરીકે નિયુક્ત કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. આ અંગે પ્રાંત અધિકારી અનીલ જાદવે સંઘના હોદ્દેદારોની રજૂઆત સાંભળીને આ તમામ પ્રશ્નો પર હકારાત્મક વલણ અપનાવી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ રજૂઆતમાં સવાઈસિંહ સોઢા, રાણાજી જાડેજા, અનિલ રૂપારેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. તંત્રની ખાતરી બાદ શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો હતો.
ઈરાન યુદ્ધની ભારતીયોને અસર : ગેસની અછતથી વતન વાપસી સુધી
- અમેરિકા-ઈરાન વચ્ચે 38 દિવસ ચાલેલા યુદ્ધમાં હવે ૧૪ દિવસનો યુદ્ધવિરામ આવ્યો છે પણ તેનાથી ભારત અને ખાડી દેશોમાં વસતા ભારતીયો ઉપર વ્યાપક અસર પડી છે - અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા હાલમાં ઈરાન ઉપર કોઈ હુમલા કરવામાં નહીં આવે. તેના વળતરરૂપે હોર્મુઝની ખાડીનો રસ્તો ખોલવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જહાજોની આવન-જાવન પહેલા જેવી જ સામાન્ય કરી દેવાની વાત કરાઈ છે. આ દિશામાં ઈરાને પણ કેટલીક શરતો મુકી છે. આ તમામ મુદ્દે 10 એપ્રિલે ચર્ચા થવાની છે : ભારતમાં સૌથી પહેલાં તો રાંધણગેસની અછત સર્જાવા લાગી.
આગામી 26 એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલાં દિવ્ય ભાસ્કરે શહેરના કેટલાક નાગરિકોને તેમના વોર્ડના કોર્પોરેટરોના નામ પૂછ્યા હતા. અમદાવાદીઓએ શું-શું કહ્યું જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
શહીદોને શ્રદ્ધાજંલિ અપાઇ:શૌર્ય દિવસની ગાથામાંથી શીખ : ‘હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારીએ’
દર વર્ષે 9 એપ્રિલે શૌર્ય દિવસના ભાગરૂપે સીઆરપીએફ કચ્છની ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેના ભાગરૂપે ગુરુવારે પણ શહીદોના બલિદાનને યાદ કરતાં શૌર્ય દિવસ કાર્યક્રમ યોજાયો હતો. ઉજવણી દરમિયાન બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરાઈ હતી. વર્ષ 1965માં પાકિસ્તાનના ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી. પરાક્રમની ગાથાને યાદ કરતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, એ સમયે જવાનોએ 3 હજારથી વધારે દુશ્મનોની સામે બહાદુરીપૂર્વક ટક્કર ઝીલી હતી. સાથે જ નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું કે, શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ. મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ. જવાનોની બહાદુરી અને ભારત દેશની એક ઈંચ પણ જમીન નહીં આપવા દ્ઢ નિશ્ચય સામે દુશ્મનની ફૌજની હાર થઈ હતી. ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્ર સિંહ વિસેનએ કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. સાથે જ શૌર્ય દિવસની ઉજવણીના સહયોગ બદલ બીએસએફનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુદ્ધમાં પાકિસ્તાનની 3 હજારથી વધારે સૈનિક ધરાવતી બ્રિગેડે હુમલો કર્યો હતો. ત્યારે સીઆરપીએફના જવાનો માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટની ફરજ પાડી હતી. વળતા પ્રહારથી પાકના 34 સૈનિકો માર્યા ગયા અને 4 જીવતા પકડાયા હતા. દુશ્મનની સાથે લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા. કાર્યક્રમમાં બીએસએફ 90 બટાલિયનના કમાન્ડન્ટ વિજયકુમાર, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહ,સીઆરપીએફના ઉપ-કમાન્ડન્ટ અભિજીત કાલે અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દિનેશ ચંદ્ર ચંદેલ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:પરિવારને 5, સંસ્થાને 25 લિ. કેરોસીન મળશે
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ ઉપરાંત કેરોસીનની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જેના અનુસંધાને કચ્છમાં કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી જિલ્લામાં કેરોસીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાવાર 36 KL (કિલો લિટર) કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશની વ્યવસ્થા (લાઇટ) માટે જ કરી શકાશે. જેમાં પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન એક જ વખત મેળવી શકશે. જો કે કેરોસીન મેળવવા ઈચ્છતા લોકો માટે NIC દ્વારા ઓનલાઈન URL: https://ipds.gujarat.gov.in/ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે-તે તાલુકા સ્તરેથી જ્યારે ઓછામાં ઓછા 12,000 લિટર (1 ટેન્કર લોડ) કેરોસીનની ઓનલાઈન માંગણી નોંધાશે, ત્યારે તાત્કાલિક અસરથી તે તાલુકાના નિયત કરેલા પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષંગિક ખર્ચાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં કેરોસીનનો ભાવ પ્રતિ લિટર ₹63.26 થી ₹64.07 ની વચ્ચે રહેશે. આ 6 પેટ્રોલ પંપ પર મળશે કેરોસીન ચૂલા સળગે છે, તેવા વિસ્તારો બાકાત રખાયાકચ્છ જિલ્લામાં 6 તાલુકાઓમાં કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ આયોજનની કમનસીબી એ છે કે જેમાં અબડાસા, લખપત અને માંડવી શહેરનો સમાવેશ જ કરાયો નથી. આ એવા વિસ્તારો છે જ્યાં ગરીબી અને અંતરિયાળ ભૂગોળને કારણે હજુ પણ હજારો ગૃહિણીઓ ધુમાડાથી ભરેલા ચૂલા પર રસોઈ બનાવે છે. સરકારની ‘ઉજ્જવલા’ યોજનાના અજવાળા હજુ આ સરહદી ગામડાં સુધી પહોંચ્યા નથી. જ્યારે સૌથી વધુ જરૂરિયાત અહીંના અંતરિયાળ વિસ્તારના લોકો અને માલધારીઓને છે, ત્યારે તેમને જ આ યોજનાથી બાકાત રાખવામાં આવતા તંત્રની નીતિ સામે સવાલો ઉઠ્યા છે.
દાંપત્ય અને ઘરેલુ સબંધોમાં સર્જાતી તકરારોને સમયસર સમજણથી સુખદ રીતે ઉકેલી શકાય છે. હાલમાં ભુજ સ્થિત જિલ્લા ન્યાયાલયના મિડીયેશન સેન્ટર ખાતે ફરીવાર એક દંપતીનું દાંપત્ય જીવન તૂટતા પહેલા બચાવી લેવામાં આવ્યું હતું. ચારેક વર્ષથી દંપતી સાથે રહેતા હતા અને જેમાં એમને કોઈ સંતાન ન હતું. પતિની આવક ઓછી હોવાથી એમા ઘરનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બની જતું હતું. એવામાં અચાનક એક દિવસ પતિને કામ મળવાનું બંધ થઈ ગયું. હવે આર્થિક સ્ત્રોત બંધ થઈ જતાં દંપતી વચ્ચે તકલીફો વધવા લાગી. ઘણીવાર બંને વચ્ચે નાની-નાની બાબતોમાં તકરાર થવા લાગ્યો. ઘર ચલાવવું એટલું મુશ્કેલ થઈ ગયું હતું કે, અંતે પતિની પરવાનગી વગર જ કે તેમને ખબર ન પડે તેમ પત્નીએ ઘરની ચીજ-વસ્તુઓ વેચવાની શરૂ કરી દીધી હતી. આ કેસમાં મિડીયેટર દ્વારા પ્રથમ બેઠકમાં બંને પક્ષોની વચ્ચે રહેલી ગેરસમજોને દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં મિડીયેટના માર્ગદર્શન તેમજ બંને પક્ષોની સકારાત્મકતાને કારણે સંબંધિત વિવાદના મુદ્દાઓ પર સહમતી સાધી હતી. અંતે, પતિએ રહેવા માટે મકાનની વ્યવસ્થા કરી, નવું કામ શોધી અને કમાણી કરી ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવવા સહમત થયા હતા. સાથે જ પત્નીએ પણ પતિને આત્મહત્યા જેવુ પગલું ન ભરવા વચન આપ્યું. માત્ર એક બેઠકમાં જ જટીલ જણાતો આ લગ્ન વિષયક પ્રશ્ન 4 એપ્રિલે ઉકેલાતા મામલાનું સમાધાન થયું હતું. બંનેએ છુટ્ટા થવાનું નક્કી કર્યું હતુંપરિસ્થિતિ ત્યાં સુધી કપરી બની ગઈ હતી કે, રહેવા માટે ભાડે મકાનની વ્યવસ્થા પણ થઈ શકે તેમ નહતી. ઘણીવાર પતિએ ગુસ્સામાં આવી પત્નીને અપશબ્દો બોલેલા. જેથી પત્નીને દુઃખ લાગતા પતિને આત્મહત્યા કરવાની ધમકી આપી, અંતે બંનેએ છુટ્ટા થવાનું નક્કી કર્યું. જોકે આ કેસ કોર્ટમાં ઔપચારિક રીતે દાખલ થાય તે પહેલાં તેને મિડીએશન સેન્ટર ખાતે પ્રિ-લિટિગેશન (ઉજાસ) તરીકે રજીસ્ટર કરાયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સ્થાનિક સ્વરાજ્યની 448 સીટ માટે 867 ફોર્મ ઉપડ્યા, 31 ભરાયા
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 1867 ફોર્મનું વિતરણ થયું છે, જેની સામે માત્ર 31 ફોર્મ જ ભરાયા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત નથી કરાઇ. કચ્છની 9 તાલુકા પંચાયતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 31 ફોર્મ ભરાયા છે, જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 19 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત ભુજમાં 04 ફોર્મ, મુન્દ્રા 05 ફોર્મ, અબડાસામાં 02 ફોર્મ અને રાપર તાલુકા પંચાયત માટે 01 ઉમેદવારે ફોર્મ ભર્યો છે. હાલમાં માત્ર અપક્ષ અને આમ આદમી પાર્ટી સહિતના અન્ય પક્ષો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લી તારીખ 11 એપ્રિલના રોજ મોટાભાગના ઉમેદવારો ફોર્મ ભરશે. કચ્છની બેઠકવાર ફોર્મની સ્થિતિ
શહેરના ચીટરોએ સસ્તા સોનાના નામે ઠગાઈ આચરવા દેશનો એકપણ ખુણો બાકી રાખ્યો નથી, તેવામાં રાજસ્થાનના વેપારીને બજારભાવ કરતા દસ ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપી રૂપિયા 61 લાખ પડાવ્યા બાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાનાઓ બનાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હીરાલાલ હપ્પારામજી ચૌધરીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ભુજના ગાંધીનગરીમાં રહેતા આરોપી રાહુલ સોની જેનું સાચુ નામ અલ્તાફ હુશેન જત અને હાજી વલીમામદ કકલ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 2024માં ફરિયાદીના દીકરાને ફેસબુક પર રાહુલ સોની નામની આઈડી દેખાઈ હતી જેમાં વિવિધ દેશના સોનાના બિસ્કીટ બાબતે વિગતો દેખાઈ હતી. જેથી આરોપીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદી વાતચીત કર્યા બાદ 14 ઓક્ટોબર 2024ના ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીઓએ તેની સાથે મીટીંગ કરી રૂપિયા 7 લાખમાં 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ આપ્યું હતું. ફરિયાદી સોનાનુ બિસ્કીટ લઈને ચાલ્યા ગયા બાદ વધુ સોનુ ખરીદવા આરોપીને કહ્યું હતું અને આંગડીયા મારફતે 500 ગ્રામ સોના માટે રૂપિયા 34 લાખ મોકલાવ્યા હતા. જે બાદ આરોપીઓએ વધુ સોનુ ખરીદવાની લાલચ આપી બીજા 34 લાખ પડાવ્યા હત. પરંતુ ફરિયાદીને બિસ્કીટ ન મળતા તેઓ ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીએ વિશ્વાસ કેળવવા 1 સોનાનુ બિસ્કીટ આપી અલગ અલગ બહાના બનાવી ફરિયાદી સાથે રૂપિયા 61 લાખની ઠગાઈ આચરી હતી.જે મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઠગાઈનો ભોગ બાદ પણ લાલચ-એલસીબીના ચોપડે ચીટરો અકબંધઆરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ 75 લાખ લઇ લીધા બાદ વિશ્વાસ કેળવવા માટે રૂપિયા 14 લાખના 2 સોનાના બિસ્કીટ આપ્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાના બતાવી રૂપિયા કે સોનુ આપ્યું ન હતું. આ દરમિયાન ફરિયાદી અન્ય એક ચીટર ગેંગના હાથે ઠગાઈનો ભોગ બન્યા હતા અને એ મામલે ફરિયાદ પણ કરેલી હતી. ત્યારે બન્ને આરોપીઓ બાબતે તપાસ કરતા કોઈ જાણકારી મળી ન હતી પરંતુ ત્યારબાદ આ બન્ને આરોપીના સાચા નામ જાણવા મળ્યા હતા અને એલસીબી કચેરીમાં તપાસ કરાવતા બન્ને ચીટરો ચોપડા પર ચડેલા દેખાયા હતા.
ભાસ્કર ફોલોઅપ:બોર્ડની પરીક્ષામાં શંકાસ્પદ જણાયેલા 110 છાત્રોનું હિયરીંગ પૂર્ણ, 19 સામે લટકતી તલવાર
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પેપર ચકાસણી સહિતની કામગીરી આખરી તબક્કામાં છે. આ વર્ષે પરીક્ષા દરમિયાન કચ્છ જિલ્લામાં પ્રત્યક્ષ રીતે એક પણ કોપી કેસ નોંધાયો ન હતો, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી ફૂટેજના નિરીક્ષણ દરમિયાન 110 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાયા હતા. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારની અધ્યક્ષતામાં મળેલી કમિટીની બેઠકમાં બે દિવસ સુધી સુનાવણી યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, ખંડ નિરીક્ષક અને આચાર્યોને બોલાવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. સુનાવણીના અંતે ધોરણ 10 ના 10 અને ધોરણ 12 ના 9 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાતા તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડમાં મોકલવામાં આવ્યો છે. આ 19 વિદ્યાર્થીઓએ હવે તેમના વાલીઓ, ખંડ નિરિક્ષક અને કેન્દ્ર સંચાલકો સાથે ગાંધીનગર બોર્ડ સમક્ષ હાજર થવું પડશે. બોર્ડની ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા ફૂટેજની આખરી તપાસ કરવામાં આવશે. જો ચોરી સાબિત થશે તો વિદ્યાર્થીના તે વિષયનું અથવા જરૂર જણાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે. બેદરકારી બદલ ખંડ નિરીક્ષક અને કેન્દ્ર સંચાલક સામે પણ કડક પગલાં લેવામાં આવશે. મે મહિનામાં પરિણામ જાહેર થવાની શક્યતાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરીક્ષાલક્ષી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે. બોર્ડ દ્વારા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સ તે બાદ ધોરણ 12 કોમર્સ અને છેલ્લે માસના અંતે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
વાણીયાવાડમાં ઘાતકી હત્યા:રાશનના 4 લાખ માટે બોટલ-દસ્તો ફટકારી વૃદ્ધની હત્યા
શહેરના વાણીયાવાડ વિસ્તારમાં એકાકી જીવન જીવતા અને સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના વૃદ્ધ સંચાલકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર ફેલાઈ છે. પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપીની દુકાનેથી સંસ્થા માટે રાશન ખરીદીના બાકી રહેલા રૂપિયા બાબતે બોલાચાલી બાદ આરોપીએ વૃદ્ધને માથાના ભાગે બોટલ અને દસ્તો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ 4 કલાક પછી આરોપીએ ખુદ પોલીસ સામે હાજર થઇ કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વાણીયાવાડ વિસ્તારમાં અસ્ટપદા બિલ્ડીંગના બીજા માળે આવેલ ફ્લેટ નંબર ૩માં રહેતા 71 વર્ષીય રશ્મીકુમાર કનકલાલ ભુલાણી(શાહ)ની હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે હોસ્પિટલ રોડ પર રહેતા મૃતકના ભાઈ ફરિયાદી પંકજભાઈ કનકલાલ શાહે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકે પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપી નીલેશ હસમુખલાલ શાહ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 8 એપ્રિલના રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીના ભાઈ સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક હતા. જે સંસ્થા માટે આરોપીની દુકાન પરથી રાશનની ખરીદી કરતા હતા. જેના બાકી રહેતા રૂપિયા માટે આરોપી મૃતકને ઘરે ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે બોલાચાલી થતા આરોપીએ મેટલની પાણીની બોટલ મૃતકને માથામાં ફટકારી હતી. ત્યાંથી ન અટકતા આરોપીએ મેટલના દસ્તાથી માથામાં ગંભીર ઈજા પહોચાડી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર મામલે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એમ.આર.નકુમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મૃતક આરોપી પાસેથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રાશન ખરીદતા હતા, જેના રૂપિયા 4 લાખ બાકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ આરોપી ખુદ પોલીસ મથકે આવ્યો હતો અને હત્યા નીપજાવી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુરાવાનો નાશ કરવા કેમેરાનો ડીવીઆર કાઢ્યોઆરોપીએ રાત્રે 10 વાગ્યે હત્યાના બનાવને અંજામ આપી દીધા બાદ મૃતકના ઘરમાં લગાડેલ સીસીટીવી કેમેરાનો ડીવીઆર કાઢી લઇ પુરાવાનો નાશ કર્યો હતો. એક સમયે ગુનાથી બચવાનો પ્રયાસ કરનાર આરોપી હત્યાના ચાર કલાક બાદ રાત્રે બે વાગ્યે ખુદ એ ડીવીઝન પોલીસ મથકે હાજર થયો હતો અને પોતે હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસ મૃતકના ઘરે પહોચી હતી. ત્યારે વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ બેડરૂમમાં પડેલો દેખાયો હતો. જોકે આરોપીએ કેમેરાનો ડીવીઆર શા માટે કાઢ્યો તે સહીતની વિગતો વધુ તપાસ દરમિયાન સામે આવશે.
ભુજ વોર્ડ નં - 4:ખખડી ગયેલા માર્ગો દેખાય તો સમજવું વોર્ડ નં 4 છે
ગત પાંચ વર્ષ દરમિયાન વિકાસના કામો થયાનું ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય પૂર્વ નગર સેવકો જણાવે છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી જોતા આ વોર્ડમાં આવેલા વિસ્તારોમાં સ્થાનિકોના મતે કામોમાં રહેલી કચાશો સુધારવાની જરૂર ચોક્કસ છે. જેષ્ઠાનગર વિસ્તારમાં માર્ગ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓને લઈને રહેવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગણેશ ચોકથી રોનક ચોક અને લાલ ટેકરીને જોડતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે, જ્યારે ડીપી ચોકથી વાઘેશ્વરી ચોક સુધીનો નવો બનાવેલો રસ્તો ગટર અને પાણીની લાઈનો માટે ફરી ખોદકામ થતા ખાડાઓથી ભરાયો છે. હોસ્પિટલ રોડ પર અગાઉ સારો સીસી રોડ હોવા છતાં હવે ડામર અને પેવર બ્લોકના થિંગડાઓથી અવ્યવસ્થિત સ્થિતિ સર્જાઈ છે. કેમ્પ પોલીસ ચોકીથી રિલાયન્સ મોલ સુધીનો માર્ગ પણ વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી કરે છે. શેરીઓમાં સફાઈ નામમાત્ર થાય છે અને નાળાઓમાં ગંદકી ભરાઈ રહી છે. પીવાના પાણીની સમસ્યા નથી, પરંતુ ઢાળવાળા વિસ્તારમાં પાણીનો બગાડ વધુ થાય છે. અનિયંત્રિત બાંધકામ અને ઓટલાઓને કારણે રસ્તાઓ સાંકડા બની ગયા છે, જેના કારણે ઈમરજન્સી વાહનોને પણ અવરજવર મુશ્કેલ બને છે. રસ્તાઓની ખરાબ હાલત અને વધેલા સ્પીડબ્રેકરના કારણે રીક્ષા ચાલકો પણ આવવાનું ટાળી રહ્યા છે અથવા વધુ ભાડું વસૂલ કરે છે. સ્થાનિકોએ ટાઉન પ્લાનિંગ મુજબ નવા માર્ગોના કામો ઝડપથી પૂર્ણ કરવાની અને સુવિધાઓ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે તેવું જણાવ્યું હતું. 6 કરોડથી વધુના માર્ગોના કામ થયા છે !જન લોક ભાગીદારી દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી ફાળવાતી રકમ પેટે કુલ છ કરોડથી વધુના ખર્ચે સીસી રોડનું કામ થયું હોવાનું જણાવતા પૂર્વ નગર સેવક મોહમ્મદ હનીફ માંજોઠી ઉમેરે છે કે ભાવેશ્વર નગરનું પુલનું કામ હાલમાં ચાલુ છે. ભાવેશ્વર નગર જેષ્ઠા નગર વગેરે જગ્યાએ ડ્રેનેજ લાઇન પડી ગઈ છે. તો વીજપોલ ખડા કરીને સ્ટ્રીટ લાઈટ પણ વધારવામાં આવી છે. માર્ગોના કામ ઉપરાંત ઇન્ટરલોક પાથરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સીસી રોડ બન્યા અને તૂટ્યા પણ છે જે કામની ગુણવત્તા બાજુ અંગુલી નિર્દેશ કરે છે. વિસ્તારરાજેન્દ્રનગર, કેમ્પ એરિયા, વિજયનગરનો અમુક વિસ્તાર, જેષ્ઠા નગર, શારદા સોસાયટી, નુતન સોસાયટી, આનંદ કોલોની, ઇન્દિરા નગરી, ઓરિએન્ટ કોલોની, અંબાજી મંદિર પાસેનો રહેણાંક વિસ્તાર મતદારોની સંખ્યા
ઓનલાઇન ફ્રોડ:એચઆરમાંથી છું કહી ઠગે બીઓબીના નિવૃત્ત મેનેજરના ₹18.95 લાખ ઠગ્યા
વાઘોડીયા રોડ પર રહેતા અને બીઓબીમાંથી નિવૃત્ત મેનેજર 72 વર્ષીય ભુપેશચંદ્ર દવે સાથે ઓનલાઇન ફ્રોડની ઘટના બની છે. 17 જાન્યુઆરીએ ઠગોએ ફરિયાદીને વોટ્સએપ કોલ કરી પોતે બીઓબી હેડ ઓફિસ, અલ્કાપુરીના એચઆર ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી જણાવ્યું કે, બેંકે રિટાયર્ડ કર્મચારીઓ માટે નવા પેન્શન કાર્ડ બહાર પાડ્યા છે, જેમાં મેડિક્લેમ અને ફ્યુઅલમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. વિશ્વાસમાં લેવા ઠગોએ વોટ્સએપ પર ‘BOB HRMS VERIFICATIO.apk’ ફાઇલ મોકલી હતી. મેનેજરે ફાઇલ ઓપન કરી કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ઠગે દોઢ કલાક સુધી વીડિયો કોલ ચાલુ રખાવી વિગતો ફોર્મમાં ભરાવી હતી. દરમિયાન ફરિયાદીનો ફોન અન્ય નંબર પર ફોરવર્ડ કરી OTP મેળવી લેવાયા હતા. તેમની 11 FD પર લોન લઈને નાણાં ઉપાડી લીધા હતા. કોલ કટ થયા બાદ જ્યારે ફરિયાદીએ સ્ટેટમેન્ટ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના અને તેમની પત્નીના 4 ખાતામાંથી 11 એફડી પર લોન લઇ ₹18.95 લાખ 10 ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી લેવાયા છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

30 C