સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ બનાસકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવારો પાસેથી બાંહેધરી પત્રક ભરાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે પક્ષપલટો રોકવા માટે તેમજ કોંગ્રેસ પક્ષના આદેશનું ઉમેદવાર ચુસ્તપણે પાલન કરે તે માટે સંભવિત ઉમેદવારો પાસે 'બાંહેધરી પત્રક' ભરાવ્યા છે. રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષોએ આ ચૂંટણીઓમાં જીત મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા પણ તાલુકા મથકોએ ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા મથક પાલનપુરમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો પોતાના સેન્સ આપવા પહોંચ્યા હતા. પ્રદેશ કોંગ્રેસમાંથી આવેલા નિરીક્ષકોએ ઈચ્છુક ઉમેદવારોને સાંભળીને તેમના સેન્સ લીધા હતા. આ અંગે કોંગ્રેસ આગેવાન અને પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સેંજીભાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આજરોજ જિલ્લા પંચાયત ચંડીસર, ચડોતર, ગઢ અને મડાણા ગઢના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પાલનપુર તાલુકાની 34 તાલુકા પંચાયતો અને 38 જિલ્લા પંચાયતની સેન્સ પ્રક્રિયા લેવાશે. કોંગ્રેસમાંથી ટિકિટ લેવા માટે લોકોની બહુ લાંબી લાઈનો છે. એક તાલુકા પંચાયતમાં પાંચથી છ સંભવિત ઉમેદવારો આજે આવ્યા છે અને જિલ્લા પંચાયતમાં પણ એ જ પરિસ્થિતિ છે. ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસની વિચારધારાવાળો માણસ, ચુસ્ત માણસ, વધુ અભ્યાસી અને કોઈ પક્ષ પલટો ન કરે એવા વ્યક્તિની અમે પસંદગી કરવાના છીએ. વધુમાં કહ્યું કે, જિલ્લા અને તાલુકા પંચાયતમાં લડવા ઇચ્છુક ઉમેદવારો માટે આ વખતે કોંગ્રેસે બાંહેધરી પત્રક ભરાવવાનું નક્કી કર્યું છે. ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના વ્હીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે, એ માટે બાંહેધરી પત્રક ભરાવ્યાં છે. ભવિષ્યમાં કોઈપણ પક્ષ સાથે કોઈ પક્ષ પલટો ન કરે, તેમ છતાં જો પક્ષ પલટો કરશે તો પક્ષપલટા વિરોધી ધારા હેઠળ ગાંધીનગરની કોર્ટમાં જઈ અને પક્ષકાર તરીકે સભ્ય પદ એનું રદ કરાવીશું.
સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તે ખાતાઓના ઉપયોગથી કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતી હતી. પોલીસે આ મામલે ડિંડોલી વિસ્તારમાંથી એક 22 વર્ષીય B.Sc. પાસ યુવાનની ધરપકડ કરી છે, જે આ સમગ્ર કૌભાંડમાં મહત્ત્વની કડી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ ગેંગ દ્વારા દેશભરમાં આશરે 47.74 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. ગેરકાયદે બેંક એકાઉન્ટ ખોલી ઇન્સ્ટન્ટ કિટ્સ અને સીમકાર્ડ મેળવી લેતાસુરત સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, ભાવેશ શિંદે અને હરીશ ચૌધરી નામના શખસો પોતાના સાગરીતો સાથે મળીને એક મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ ગેંગ ભોળા લોકોને પૈસાની લાલચ આપી તેમના સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવતી હતી. એકાઉન્ટ ખુલ્યા બાદ, તેની ઇન્સ્ટન્ટ કિટ્સ અને સીમકાર્ડ મેળવી લેવામાં આવતા હતા. આ કિટ્સ અને સીમકાર્ડ સીધા દુબઈ મોકલવામાં આવતા હતા, જ્યાંથી સાયબર ગુનેગારો ઓનલાઇન છેતરપિંડીના નાણાં ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. પકડાયેલો આરોપી ગેંગમાં 'કેશ કલેક્ટર' તરીકે કામ કરતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી ભાવેશ મનોજભાઈ શિંદે (ઉ.વ. 22) જે મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને B.Sc. સુધીનો અભ્યાસ કરી રહ્યો છે, તે આ ગેંગમાં 'કેશ કલેક્ટર' તરીકે કામ કરતો હતો. જ્યારે સાયબર ફ્રોડના નાણાં ભારતીય ખાતાઓમાં જમા થતા, ત્યારે અલગ-અલગ લોકો દ્વારા તે રકમ ATM કાર્ડથી વિડ્રો કરવામાં આવતી હતી. ભાવેશનું કામ આ તમામ રકમ એકત્રિત કરી મુખ્ય સૂત્રધાર હરીશ ચૌધરી સુધી પહોંચાડવાનું હતું. કેશ કાઉન્ટિંગ મશીન અને 40 જેટલા સીમકાર્ડ પણ જપ્ત કરાયાડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, બાતમીના આધારે પોલીસે ડિંડોલીના કૈલાસ પેલેસમાં રહેતા ભાવેશ શિંદેના ઘરે રેડ કરી હતી. ત્યારબાદ ફરાર આરોપી હરીશ ચૌધરીના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને હરીશના ઘરેથી 18.50 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત, ગુનામાં વપરાતા 9 મોબાઈલ ફોન, કેશ કાઉન્ટિંગ મશીન અને 40 જેટલા સીમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. 35 બેંક ખાતાઓમાં 47 કરોડથી વધુનું ટ્રાન્જેક્શનપોલીસને તપાસ દરમિયાન 35 જેટલા એવા બેંક એકાઉન્ટની માહિતી મળી છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, NCCRP (National Cyber Crime Reporting Portal) પર આ 35 ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 56 ફરિયાદો નોંધાયેલી છે. આ ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 47 કરોડ 74 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. આ આંકડો હજુ પણ તપાસમાં વધી શકે તેવી શક્યતા છે. બે ફરાર મુખ્ય આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીઆ કેસમાં હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી નામના બે મુખ્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ડીસીપી જૈને વધુમાં ઉમેર્યું હતું કે, આ બંને આરોપીઓ અગાઉ 4 વર્ષ પહેલાં ED દ્વારા નોંધાયેલા એક મોટા ગેમિંગ કૌભાંડમાં પણ સામેલ હતા. તેમનો ગુનાહિત ઇતિહાસ જોતા આ એક વ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ હોવાનું જણાય છે. હાલમાં પોલીસ આ બંને ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ કરી રહી છે.
વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજવાની છે. ભાજપ દ્વારા તેની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 316 બેઠકો માટે 1408 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જિલ્લાની 8 તાલુકા પંચાયતની ચૂંટણીવડોદરા જિલ્લાની વડોદરા, ડેસર, સાવલી, વાઘોડિયા, ડભોઇ, પાદરા, કરજણ અને શિનોર એમ કુલ 8 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાશે. તાલુકા પંચાયતની આઠેય તાલુકા પંચાયતોમાં કુલ 170 બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે. જેમાં સૌથી વધુ બેઠકો વડોદરા તાલુકા પંચાયતમાં છે, વડોદરા તાલુકા પંચાયતની 30 બેઠકો છે. આ તમામ બેઠકો ઉપર ભાજપના 772 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. 4 નગરપાલિકામાં 376 દાવેદારોવડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવશે જેમાં સાવલી, વાઘોડિયા, ડભોઇ અને પાદરા નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ ચાર નગરપાલિકાઓમાં કુલ 112 બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે 376 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. ડભોઇની સૌથી વધુ 36 બેઠકો માટે 138 દાવેદારો છે. તો સાવલીની 24 બેઠકો માટે 63, વાઘોડિયાની 24 બેઠકો માટે 64 અને પાદરાની 28 બેઠકો માટે 11 દાવેદારો નોંધાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રસાકસીપૂર્ણ રહેશેવડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગરમાટો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ગ્રામ્ય કક્ષાએ પણ રાજકારણ ગરમાયુ છે. ત્યારે આગામી એક મહિના સુધી ઉનાળાની ગરમી કરતા પણ રાજકીય ગરમી વધુ જોવા મળશે.
વડોદરાના સ્વામી પરિવારે પાટણમાં હવન-યજ્ઞ કર્યો:શ્રી સમેળા માતાજી મંદિરે વાર્ષિક સમૂહ યજ્ઞ યોજાયો
પાટણ: વડોદરા સ્થિત સ્વામી પરિવારના સભ્યોએ શનિવારે પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલા કુળદેવી શ્રી સમેળા માતાજીના મંદિર ખાતે વાર્ષિક સમૂહ હવન-યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પવિત્ર હવન-યજ્ઞમાં વડોદરાના ભરતભાઈ, જયેશભાઈ, અરવિંદભાઈ, લાલાભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ, તુષારભાઈ, ભીખાભાઈ અને રાજેશભાઈ સહિતના સ્વામી પરિવારના સભ્યો યજમાન પદે બિરાજમાન થયા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, સ્વામી પરિવારના પ્રમુખ અને શ્રી સમેળા માતાજી મંદિર સમિતિના સેવક શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ, વિજયભાઈ અને પુજારી નિતિનભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી. વડોદરા સ્થિત સ્વામી પરિવારના સભ્યોએ આ સહયોગ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
છોટાઉદેપુર તાલુકાના નાલેજ સહિત ચાર ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. જર્જરિત કેનાલોને કારણે ખેતરો સૂકાભઠ્ઠ બન્યા છે, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સિંચાઈ યોજના દ્વારા આશરે 500 હેક્ટર જમીનને પાણી મળવું જોઈએ. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર છે, જ્યાં ખેડૂતો નાની સિંચાઈ યોજનાઓ અને તળાવો દ્વારા ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જોકે, નાની સિંચાઈ યોજનાના અધિકારીઓના બેદરકાર વહીવટને કારણે કેનાલોની મરામત થઈ નથી, જેના પરિણામે આદિવાસી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે. છોટાઉદેપુરથી પાંચ કિલોમીટર દૂર નાલેજ ખાતે જિલ્લા પંચાયત હસ્તકનું સિંચાઈ તળાવ આવેલું છે. આ તળાવ ભરેલું હોવા છતાં, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાણી ખેતરો સુધી પહોંચાડતી કેનાલો જર્જરિત થઈ ગઈ છે. કેનાલોમાં ઝાડી-ઝાખરા ઊગી નીકળ્યા છે, સાયફન તૂટી ગયા છે અને ઠેર ઠેર ગાબડાં પડ્યા છે. આ સ્થિતિને કારણે ખેડૂતો ચોમાસુ અને શિયાળુ પાક તો લઈ શકે છે, પરંતુ ઉનાળુ પાક લઈ શકતા નથી. પરિણામે, તેમને પોતાનું વતન છોડીને મજૂરી માટે બહાર જવાની ફરજ પડી રહી છે. નાલેજ, ઓલિઆંબા, પાંધરવાંટ અને સિમલ ફળિયા ગામના ખેડૂતો આ ડેમ મારફત સિંચાઈનું પાણી મેળવતા હતા. સિંચાઈ વિભાગની વર્ષો જૂની કેનાલોમાં તિરાડો અને ગાબડાં પડવાને કારણે હજારો લિટર પાણી ખેડૂતોને મળવાને બદલે વેડફાઈ રહ્યું છે. ખેડૂતોએ વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કેનાલો નવી બનાવવામાં આવી નથી. ખેડૂતો તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે કેનાલોનું નવીનીકરણ કરીને પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે. આ મામલે જિલ્લા પંચાયતના સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ કેનાલોના રીપેરીંગ માટે સૈદ્ધાંતિક મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. મંજૂરી મળ્યેથી ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં, આ ચાર ગામના આદિવાસી ખેડૂતો ઉનાળાના સમયમાં સિંચાઈના પાણીથી વંચિત છે. વહીવટીતંત્ર ક્યારે આ કેનાલોનું સમારકામ કરીને સિંચાઈ માટે પાણી પહોંચાડશે તે જોવું રહ્યું.
મીઠાપુરમાં ગેરકાયદે દારૂનો મોટો જથ્થો ઝડપાયો:પોલીસે મોજપ ગામમાંથી ₹83,892નો મુદ્દામાલ જપ્ત કર્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસે મોજપ ગામેથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ભારત પેટ્રોલ પંપ પાછળ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુલ 276 નંગ બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત ₹83,892 આંકવામાં આવી છે. આ કામગીરી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. મીઠાપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઈ. એસ.આર. ખરાડીએ ચાર્જ સંભાળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ માહિરાજદાન ગઢવી અને જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી હવે રાજકીય રીતે અત્યંત રસપ્રદ અને બહુસ્તરીય બની ગઈ છે. ક્ષત્રિય અને પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર આ વખતે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ જયંત પટેલ ‘બોસ્કી’ની એન્ટ્રીથી ત્રીજું ફેક્ટર પણ ઊભું થઈ શકે છે. અંદાજે 2.74 લાખ મતદારો ધરાવતી ઉમરેઠ બેઠકમાં ક્ષત્રિય મતદારો 40થી 45 ટકા છે, જ્યારે પાટીદાર મતદારો 20થી 22 ટકા છે, જેના કારણે આ બંને સમુદાયોનું ગઠબંધન જીત માટે સૌથી મહત્વપૂર્ણ બની રહે છે. ઉમરેઠ પેટાચૂંટણીમાં ક્ષત્રિય-ક્ષત્રિય સામસામે છે ત્યારે પાટીદાર કિંગમેકર તરીકે છે. CMના સંબોધનમાં ‘ગોવિંદભાઈ’ 3 વાર, હર્ષદ માત્ર 1 વાર ઉમરેઠમાં સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદની ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપ શક્તિપ્રદર્શન સભા યોજાઈ હતી. 2026 ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપે સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદને ઉમેદવાર બનાવી સહાનુભૂતિ અને ‘વારસદાર’ કાર્ડ રમ્યું છે. આ રણનીતિનો સંકેત મુખ્યમંત્રીના ભાષણમાં પણ જોવા મળ્યો, જ્યાં 5 મિનિટ 21 સેકન્ડના સંબોધનમાં ગોવિંદભાઈનું નામ ત્રણ વખત લેવામાં આવ્યું અને તેના કાર્યોને યાદ કરીને મતદારો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવાનો પ્રયાસ થયો. તેની સામે હર્ષદ પરમારનું નામ માત્ર એક જ વખત લેવાયું અને તે પણ સ્ટેજ પર હાજર મહાનુભાવોનું સ્વાગત કરતી વખતે. તેના પરથી રાજકીય ચર્ચા થઈ રહી છે કે, ભાજપ ‘ગોવિંદભાઈની છબી’ને કેન્દ્રમાં રાખીને પ્રચાર કરી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટી2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ગોવિંદભાઈ પરમારે 26,717 મતોથી જીત મેળવી હતી અને 283માંથી 215 બુથમાં લીડ મેળવી હતી. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટીને અંદાજે 13થી 15 હજાર મત રહી છે. કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા બીજી તરફ કોંગ્રેસે અનુભવી અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ તાલુકા પંચાયતના ત્રણ વખત પ્રમુખ રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રમાં તેમની સારી ઓળખ છે. કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રભુત્વ વધારવા, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ફોકસ કરી રહી છે અને ખાસ કરીને ક્ષત્રિય તથા મુસ્લિમ મતોને એકતરફી કરવાનો પ્રયાસ કરી રહી છે. ‘બોસ્કી’ની ચૂંટણી લડવાની જાહેરાતથી ત્રિપાખિયો જંગ થઈ શકેચૂંટણીમાં વધુ એક મહત્વનો ટ્વિસ્ટ જયંત પટેલ ‘બોસ્કી’ના રૂપમાં સામે આવ્યો છે. બોસ્કીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, પરંતુ તેઓ કયા પક્ષમાંથી લડશે તે હજી સ્પષ્ટ નથી. 2022માં કોંગ્રેસ-NCP ગઠબંધનના ઉમેદવાર તરીકે મજબૂત પ્રદર્શન કરનાર બોસ્કીનો ભાલેજ, ઓડ અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો પ્રભાવ છે. જો તેઓ સ્વતંત્ર અથવા અન્ય પક્ષમાંથી મેદાનમાં ઉતરે છે તો ખાસ કરીને કોંગ્રેસના મતોમાં વિભાજન થવાની પૂરી શક્યતા છે, જે ભાજપને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડી શકે છે. AAP ઉમેદવાર ઉતારે તો તે પણ મતોમાં થોડો પ્રભાવ પાડી શકે આમ આદમી પાર્ટી માટે ઉમરેઠ બેઠક હજુ પડકારજનક છે. 2022માં પાર્ટીને માત્ર 2.12 ટકા મત મળ્યા હતા, છતાં પાર્ટી શહેરી અને યુવા મતદારોમાં પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે. જો AAP ઉમેદવાર ઉતારે છે તો તે પણ મતોમાં થોડો પ્રભાવ પાડી શકે છે, પરંતુ મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. બંને મુખ્ય પક્ષોએ ક્ષત્રિય ઉમેદવાર ઉતારતા પાટીદાર ‘કિંગમેકર’આ સમગ્ર પરિસ્થિતિમાં હવે ચૂંટણીનું સૌથી મોટું ગેમચેન્જર પાટીદાર મતદારો બની ગયા છે. બંને મુખ્ય પક્ષોએ ક્ષત્રિય ઉમેદવાર ઉતારતા પાટીદાર મત હવે ‘કિંગમેકર’ બની ગયા છે. જો પાટીદાર મત ભાજપ સાથે મજબૂત રીતે રહે તો ભાજપ પોતાની લીડ જાળવી રાખી શકે છે, પરંતુ તેમાં તિરાડ પડે અને સાથે બોસ્કી ફેક્ટરથી મતવિભાજન થાય તો કોંગ્રેસ માટે જીતનો રસ્તો ખુલ્લો થઈ શકે છે. બોસ્કી ફેક્ટર પેટાચૂંટણીને રસપ્રદ બનાવી શકેઆમ, ઉમરેઠ પેટાચૂંટણી હવે માત્ર મતદાનની લડાઈ નથી રહી, પરંતુ સામાજિક સમીકરણ, સહાનુભૂતિ, સ્થાનિક નેતૃત્વ અને ગ્રાઉન્ડ સ્તરની રણનીતિનો કઠિન ટેસ્ટ બની ગઈ છે. ભાજપ ‘વારસદાર કાર્ડ’ અને સંગઠન પર ભરોસો રાખી રહી છે, કોંગ્રેસ લોકલ ચહેરા અને મુદ્દા આધારિત અભિયાનથી ટક્કર આપી રહી છે, જ્યારે બોસ્કી ફેક્ટર આ જંગને વધુ અનિશ્ચિત અને રસપ્રદ બનાવી રહ્યો છે. આ પણ વાંચો પૂર્વ MLAના પુત્ર હર્ષદ પરમારે મુખ્યમંત્રીની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ ઉમરેઠ વિધાનસભાની આગામી પેટાચૂંટણી 2026ને લઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે આજે 4 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે આયોજિત જનસભા અને રોડ-શોમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા શક્તિ પ્રદર્શન જેવો માહોલ સર્જાયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ગીર સોમનાથ જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખવા અંગેના નિયમોના પાલન માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લામાં ચાલી રહેલા ચેકિંગ અભિયાન દરમિયાન એક જીંગા ફાર્મ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા અન્ય ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અગાઉ જાહેર કરાયેલા આદેશ મુજબ, કોઈપણ સંસ્થા, ઉદ્યોગ, ફાર્મ, હોટલ કે કોન્ટ્રાક્ટર દ્વારા પરપ્રાંતીય મજૂરોને કામે રાખતા પહેલાં તેમની સંપૂર્ણ માહિતી નિર્ધારિત નમૂનામાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત છે. આ નિયમનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ અજાણ્યા તત્વો પર નિયંત્રણ રાખવાનો છે. એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને પો.સબ.ઇન્સ્પેક્ટર આર.એચ. સુવાના માર્ગદર્શન હેઠળ ટીમે વેરાવળ સિટી અને પ્રભાસ પાટણ વિસ્તારના હોટલ, રેસ્ટોરન્ટ અને ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન દારી ગામ નજીક દૌભાઈની દરગાહ પાસે આવેલા એક જીંગા ફાર્મમાં પરપ્રાંતીય મજૂરને કામે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી નહોતી. આ ઘટનાને પગલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જીંગા ફાર્મના માલિક નિરવ ગોવિંદ ચોમલ (ઉંમર 29, રહે. વેરાવળ) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, આ પ્રકારની બેદરકારી કાયદાકીય રીતે ગંભીર ગણાય છે અને તેના સામે કડક પગલાં લેવામાં આવશે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં કાર્યરત તમામ ઉદ્યોગકારો, મજૂર ઠેકેદારો, સપ્લાયરો અને સંચાલકોએ પરપ્રાંતીય મજૂરોની માહિતી ફરજિયાતપણે પોલીસને આપવી પડશે. નિયમોનું પાલન ન કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી હાથ ધરાશે. આ કાર્યવાહીથી જિલ્લામાં સંચાલકોમાં સતર્કતા વધવાની સાથે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સંદેશ પણ ગયો છે કે નિયમોનો ભંગ હવે સહન કરવામાં નહીં આવે.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકાસની સાથે વધતા વાહન વ્યવહારને કારણે ગોત્રી GMERS હોસ્પિટલથી હરીનગર બ્રિજ અને નટુભાઈ સર્કલ સુધીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ સ્થિતિને કારણે એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહનો ફસાઈ ગયા હતા. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આડેધડ રીતે ઊભી રહેતી રિક્ષાઓ અને દર્દીઓના વાહનોના પાર્કિંગને કારણે ટ્રાફિકજામશહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકાસની ગતિ સાથે લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. ખાસ કરીને ગોત્રી GMERS હોસ્પિટલથી હરીનગર બ્રિજ અને નટુભાઈ સર્કલ તરફના બંને રસ્તાઓ પર રિક્ષાઓ વચ્ચે પેસેન્જરો અને દર્દીઓને લઈ જવા માટે ખેંચાતાણી થવાની ઘટનાઓ વારંવાર જોવા મળે છે. સાથે અહીંયા આડેધડ રીતે ઊભી રહેતી રિક્ષાઓ તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓના વાહનોના પાર્કિંગને કારણે રોજિંદા ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. ટ્રાફિક હળવો કરવા ચોક્કસ ડાયવર્ઝન આપવામાં આવે એવી માગઅહીંયા થઈ રહેલી કામગીરીના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી ટ્રફ ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને રિક્ષામાં લઈ જવા માટે ચાલકો વચ્ચે સ્પર્ધા જેવી સ્થિતિ જોવા મળે છે જેના કારણે આડેધડ પાર્કિંગ ના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે અહીંયા કામગીરી દરમિયાન ચોક્કસ ડાયવર્ઝન આપવામાં આવે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તો બેફામ અને આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે લગામ લગાવી શકશે, સાથે ટ્રાફિક પણ હળવો થશે.
સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં આવો જ એક અદભૂત નજારો જોવા મળ્યો, જ્યાં સુરત શહેર ઝોન-3 પોલીસ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોની વહારે આવવા માટે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામમાં આયોજિત આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીથી પીડાતા નિર્દોષ બાળકોને લોહી પૂરૂં પાડવાનો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જીવવા માટે દર 15-20 દિવસે નવું લોહી ચઢાવવું પડતું હોય છે અને ઉનાળા જેવી ઋતુમાં જ્યારે બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાય છે ત્યારે પોલીસની આ પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ કાર્યક્રમની ગંભીરતા અને મહત્વને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતે કેમ્પની મુલાકાત લઈ રક્તદાન કરી રહેલા પોલીસ જવાનો અને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. રોગચાળાઓને લીધે બ્લડની જરૂરિયાત પડતી હોય છેસુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે. એના જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકના હોદ્દેદારો અમે લોકો પાસે આવીને રજૂઆત કરેલી હતી, અત્યારે સમય એવો છે કે જ્યાં બીજા રોગચાળાઓને લીધે બ્લડની જરૂરત પડતી હોય છે, ત્યારે થેલેસેમિયાના બાળકોને પણ તકલીફ પડે છે. સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંકનો સંયુક્ત ઉપક્રમજેના લીધે જ અમે લોકો આજે DCP ઝોન-3 ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1000 જેટલા જો યુનિટ ભેગા કરવા માટે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે. અને આમાં ખાસ કરીને 5 જે બ્લડ બેંકો છે તે રક્ત આપણા થેલેસેમિયાના બાળકોને રક્ત પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ, એના સંકલનમાં જેમાં સ્મીમેર હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, આપણા સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંક છે એમના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન છે અને અમારો હંમેશા એક એવો અભિગમ રહે છે કે અમારા જે બાળકો છે એને અમે લોકો એક રીતે બ્લડ માટે દત્તક લીધા છે, તો આ પ્રકારની પ્રક્રિયા દર માસે અમે લોકો કરવાના છીએ. અને અમારા સાતેય પોલીસ ઝોનના ટાર્ગેટ છે આ વખતે 10,000 થી વધુ યુનિટ ભેગા કરીને આપણા બાળકો માટે બ્લડ આપવાના છીએ. અમારા DCP ઝોન-3ને અને એમની આખી ટીમને અભિનંદન પણ આપું છુંમારી આપના થકી લોકોને અપીલ છે કે જ્યારે જ્યારે બ્લડ ડોનેશન કરવામાં આવે ત્યારે વધુમાં વધુ માત્રામાં લોકો આવો, અમારા સહભાગી બનો જેથી એવા બાળકોને અમે લોકો બ્લડ આપીએ જેને આપ પણ નથી ઓળખતા, અમે પણ નથી ઓળખતા અને બાળકો પણ નથી ઓળખતા કે એમના પાસે બ્લડ ક્યાંથી આવ્યું. તો આ સૌથી શ્રેષ્ઠ દાન છે, એના માટે બધાને અપીલ પણ કરું છું અને અમારા DCP ઝોન-3ને અને એમની આખી ટીમને અભિનંદન પણ આપું છું. પોલીસ જનતાની મિત્ર છેથેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે, જેમાં શરીરમાં હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયા ખોરવાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં બાળકો આ બીમારીથી પીડાય છે. લોહીની સતત જરૂરિયાતને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર મોટો આર્થિક અને માનસિક બોજ રહે છે. આવા સમયે જ્યારે પોલીસ જેવી સંસ્થા રક્તદાનના કાર્યમાં જોડાય છે ત્યારે સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે અને લોહીની અછત દૂર કરવામાં મોટી મદદ મળે છે. સુરત પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ કોરોના કાળ દરમિયાન લોકોની સેવા કરી હોય કે પછી રસ્તા પર નિરાધાર લોકોની મદદ કરી હોય, હંમેશા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઝોન-3 પોલીસ પરિવારની આ રક્તદાનની પહેલ એ સાબિત કરે છે કે પોલીસ જનતાની મિત્ર છે. કતારગામના આ કેમ્પની સફળતા પાછળ ઝોન-3 ના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની ઘણી મહેનત રહેલી છે.
હિંમતનગર માર્કેટયાર્ડમાં 3 દિવસમાં તમાકુની 8699 બોરી આવક:ખેડૂતોને રૂ. 1285થી 2100 સુધીના ભાવ મળ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં તમાકુની ખરીદી શરૂ થઈ ગઈ છે. 2 એપ્રિલથી શરૂ થયેલી ખરીદીના પ્રથમ ત્રણ દિવસમાં કુલ 8699 બોરી તમાકુની આવક નોંધાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં 12,000 થી વધુ હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે. પાક તૈયાર થતાં, ખેડૂતો પોતાનો પાક વેચવા માટે હિંમતનગરના કોટન માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. ખરીદીના પહેલા દિવસે, 853 બોરી તમાકુની આવક થઈ હતી, જેના ભાવ રૂ. 1300 થી રૂ. 1865 પ્રતિ બોરી રહ્યા હતા. બીજા દિવસે ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં રૂ. 1300 થી રૂ. 2100 સુધીના ભાવ બોલાયા હતા અને 2418 બોરી તમાકુની આવક થઈ હતી. ત્રીજા દિવસે, તમાકુના ભાવ રૂ. 1285 થી રૂ. 2055 સુધી રહ્યા હતા અને 5428 બોરી તમાકુની આવક નોંધાઈ હતી. આમ, કુલ ત્રણ દિવસમાં 8699 બોરી તમાકુની આવક થઈ છે. માર્કેટયાર્ડમાં વધતી આવકને ધ્યાનમાં રાખીને, વેપારીઓ દ્વારા ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોટન માર્કેટયાર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવતા શાંતેશ્વર રોડની સ્થિતિ છેલ્લા ત્રણ મહિનાથી અત્યંત દયનીય બની ગઈ છે. વિકાસના નામે શરૂ કરવામાં આવેલું ખોદકામ હવે સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકો માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે. હોળીના તહેવાર પહેલાથી આ માર્ગ ખોદીને મૂકી દેવામાં આવ્યો હોવાથી ધૂળની ડમરીઓ, ઉભરાતી ગટરો અને અધૂરી કામગીરીને કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ગંભીર ભય પેદા થયો છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા કાંકરા અને ખાડાઓને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. જેમાં વૃદ્ધો અને બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા વારંવાર આપવામાં આવતા આશ્વાસનો હવે પોલા સાબિત થઈ રહ્યા હોય તેમ લાગતા, કંટાળેલી જનતાએ આખરે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે. વિપક્ષી નેતાઓએ આ મામલે સત્તાધારી પક્ષની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે સ્થાનિક કોર્પોરેટરે ટેકનિકલ કારણો આગળ ધરીને પોતાનો બચાવ કર્યો છે. જો આગામી બે દિવસમાં આ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો રહીશોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેણે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. સ્થાનિક રહીશ હીરાબેન આત્રોલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી આ મુખ્ય માર્ગ ખોદકામ અને વહીવટી ઉદાસીનતાને કારણે બંધ હોવાથી સ્થાનિકોને રોજિંદા જીવનમાં અસહ્ય હાલાકી ભોગવવી પડી રહી છે. હીરાબેને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ગઈકાલે જ્યારે તેઓ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર આડેધડ વેરાયેલા કાંકરાને કારણે તેમનો પગ અચાનક લપસી ગયો હતો. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજા થઈ છે અને પગમાં ભારે સોજો આવી ગયો છે, જેના કારણે તેમની અવરજવર પણ મર્યાદિત થઈ ગઈ છે. રસ્તાની આ બદતર હાલતને કારણે માત્ર તેઓ જ નહીં.પરંતુ આખી સોસાયટીના રહીશો પરેશાન છે. ખાસ કરીને નાના બાળકોને શાળાએ મોકલવા અને વૃદ્ધોને બીમારીના સમયે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે આ રસ્તો બંધ હોવાથી મોટી મુસીબત ઊભી થાય છે. હીરાબેને તંત્ર સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, જો આટલા લાંબા સમય સુધી મુખ્ય રસ્તો જ બંધ હોય તો સામાન્ય જનતાએ જવું ક્યાં? જ્યારે પણ નગરપાલિકા કે કોર્પોરેટરનો સંપર્ક કરવામાં આવે છે, ત્યારે માત્ર ખોટા આશ્વાસનો જ મળે છે. ફોન પર એવું કહેવામાં આવે છે કે હમણાં ગાડી આવે છે અને કામ શરૂ થઈ જશે, પરંતુ વાસ્તવમાં કોઈ ફરક પડ્યો નથી. તેમણે આક્રોશ સાથે પૂછ્યું કે તંત્ર જાગે છે કે સૂતું છે? અંતમાં તેમણે ચીમકી આપતા કહ્યું કે જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો દુકાનદારો, વાલીઓ અને રહીશો ભેગા મળીને મોટું આંદોલન છેડશે. રસ્તાની જટિલ સમસ્યા અંગે જિલ્લા પંચાયત સોસાયટીમાં રહેતા એક જાગૃત નાગરિકે જણાવ્યું કે આ માર્ગ ગોકુલનગર, શાંતેશ્વર અને અન્ય અનેક આસપાસની સોસાયટીઓને જોડતો મુખ્ય રસ્તો છે. છેલ્લા બે મહિનાથી રસ્તાની એક તરફનો ભાગ ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. આ વિસ્તારમાં ઘણા ગંભીર બીમાર દર્દીઓ રહે છે, પરંતુ રસ્તો બ્લોક હોવાના કારણે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ પણ સોસાયટીની અંદર આવી શકતી નથી, જે જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈપણ કામ આયોજન સાથે થવું જોઈએ. જો તંત્રએ પહેલા એક બાજુનું કામ પૂર્ણ કર્યું હોત અને ત્યારબાદ બીજી બાજુનું ખોદકામ હાથ ધર્યું હોત, તો જનતાને આવી હાલાકી ન ભોગવવી પડત. આડેધડ ખોદકામને કારણે નાના બાળકોને સ્કૂલે જવામાં અને અન્ય જરૂરી કામો માટે બહાર નીકળવામાં સતત ભય રહે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ વિકાસના કામોનો વિરોધ નથી કરી રહ્યા, કારણ કે આ કામ જનતાના હિત માટે જ છે, પરંતુ યોગ્ય પ્લાનિંગ અને એસ્ટિમેટના અભાવે જનતાનો રોષ વધી રહ્યો છે. તંત્રએ વહેલી તકે વ્યવસ્થા જાળવીને કામ પૂર્ણ કરવું જોઈએ તેવી તેમની માંગ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો અને જણાવ્યું હતું કે આજે શાંતેશ્વર રોડના રહીશો અને વેપારીઓએ મજબૂર થઈને રસ્તો બંધ કર્યો હતો. છેલ્લા અઢી-ત્રણ મહિનાથી, એટલે કે હોળી પહેલાથી આ રોડ ખોદાયેલો પડ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર સાવ ઠપ્પ થઈ ગયા છે. અહીં લાંબા સમયથી વન-વે જેવી સ્થિતિ હોવાથી હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર ગટરો તૂટેલી છે અને પાણીની લાઈનો પણ ક્ષતિગ્રસ્ત છે, છતાં તંત્ર કોઈ કામગીરી કરતું નથી. પરસાણાએ સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, જૂનાગઢ મહાનગરપાલિકાની અણઘડ નીતિને કારણે આખી પ્રજા હેરાન થઈ રહી છે. ઉનાળાની સિઝનમાં લોકો પાણી વગર તડપી રહ્યા છે અને રસ્તા પર ગટરના પાણી વહેતા હોવાથી મચ્છરોનો ત્રાસ અને રોગચાળો વધ્યો છે. તેમણે ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ કાર્યાલય પાસેનો રસ્તો સારો હોવા છતાં તેને તોડીને પાંચ દિવસમાં નવો બનાવી દેવામાં આવ્યો, જ્યારે સામાન્ય જનતાના રસ્તા મહિનાઓ સુધી અધૂરા રહે છે. જે પ્રજા ટેક્સ ભરે છે તેમના કામ પહેલા થવા જોઈએ. તેમણે શાસકોને એસી ચેમ્બરોમાંથી બહાર આવવા અને જનતાની પીડા જોવા આહવાન કર્યું છે. જો બે દિવસમાં કામ શરૂ નહીં થાય તો ફરીથી જનતા દ્વારા રસ્તો બંધ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ આ સમગ્ર મામલે દર વખતની જેમ આ વખતે પણ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે લોકો દ્વારા જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું તે એક ગેરસમજનું પરિણામ હતું. તેમણે વિલંબ પાછળના કારણો સ્પષ્ટ કરતા કહ્યું કે, રસ્તાની કામગીરી દરમિયાન અંદર રહેલી પાણીની લાઈનો અપેક્ષા કરતા ઉપર હોવાથી તે તૂટી ગઈ હતી. આ સાથે જ 11 કેવી ની વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની અને મકાનોના નવા પાણીના કનેક્શન આપવાની કામગીરી પણ સાથે કરવાની હતી. જ્યાં સુધી પાણીની નવી લાઈન નખાઈ ન જાય અને લોકોને કનેક્શન ન મળે ત્યાં સુધી રોડનું કામ ન કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં ફરીથી રસ્તો તોડવો ન પડે. હવે આ તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી ગઈકાલથી જ ગેસ પંપ વિસ્તારથી રોડનું કામ પૂરઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે. આશરે 3 કિલોમીટર જેટલી પાઇપલાઇન બદલવાની હોવાથી દોઢ મહિના જેટલો સમય લાગ્યો છે. આ રોડ અંદાજે 7 થી 8 કરોડના ખર્ચે એસ.આઈ. ઓફિસથી ગેસ પંપ સુધી બનાવવામાં આવશે, જેનાથી ટૂંક સમયમાં જ લોકોને કાયમી સુવિધા મળી જશે.
સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વાસ કેળવીને સેક્ટર-8માં રહેતા ગઠિયાએ ઓલા-ઉબેરમાં ગાડીઓ તગડા માસિક ભાડે રાખવાના બહાને અમદાવાદના ટ્રાસ્પોટેશનના વેપારીની 26.50 લાખની કિંમતની પાંચ લક્ઝરી કાર પચાવી પાડી છેતરપિંડી આચરતા સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાડીઓ ઓલા-ઉબેર ભાડે રાખવાની લાલચ આપવામાં આવી હતીઅમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને શ્રી રામ કાર રેન્ટલનો વ્યવસાય કરતા જિતેન્દ્રભાઈ ઠક્કરે ગત 5 ડિસેમ્બર, 2025ના રોજ ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાત મુકેશ સોનાજી ઠાકોર (રહે . સેકટર 8, પ્લોટ નંબર 3382 એ2) દ્વારા મૂકવામાં આવી હતી. જેમાં ગાડીઓ ઓલા ઉબેર ભાડે રાખવાની લાલચ આપવામાં આવી હતી. આ જાહેરાત જોઈ જિતેન્દ્રભાઈ લાલચમાં આવીને મુકેશને પથિકા આશ્રમ ખાતે રૂબરૂ મળ્યા હતા. એ વખતે મુકેશે પોતાના ઊંચા બેંક ટ્રાન્જેક્શન બતાવીને તેમને વિશ્વાસમાં લીધા હતા. જેની વાતોમાં આવીને જિતેન્દ્રભાઈએ ત્રણ અર્ટિગા માસિક 21 અને 36 હજારના ભાડે અને બે સ્વિફ્ટ ડિઝાયર 24,000 ના માસિક ભાડા પેટે સોંપી દીધી હતી. વેપારીની ફરિયાદના આધારે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીઆમ કુલ રૂ.26.50 લાખની પાંચેય ગાડીઓનું શરૂઆતના બે મહિના મૂકેશે ભાડું ચૂકવ્યું હતુ. જોકે, ફેબ્રુઆરી 2026થી ભાડું ચૂકવવાનું બંધ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જે અંગે તપાસ કરતા જિતેન્દ્રભાઈને જાણવા મળ્યું હતું કે, મુકેશે અન્ય એક વ્યક્તિની વેગનાર ગાડી પણ ભાડે રાખી હતી. જે અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિનવારસી હાલતમાં દારૂ ભરેલી મળી આવી હતી.આ ઘટના બાદ તેમને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. આ અંગે વેપારીની ફરિયાદના આધારે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં એક નવો નિયમ અમલમાં મૂક્યો છે. પક્ષ દ્વારા ઉમેદવારી ફોર્મમાં અરજદારોના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વિગતો પણ માંગવામાં આવી છે. આ પગલું પ્રચાર રણનીતિનો એક ભાગ હોવાનું મનાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપ દ્વારા કમલમ ખાતે 13 વોર્ડ માટે ઉમેદવારી પત્ર લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુલ 52 સભ્યોની સામે ભાજપના 491 કાર્યકરોએ ટિકિટ માંગી હતી, જે દર્શાવે છે કે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અગાઉની પાલિકા ચૂંટણીમાં આટલા જ વોર્ડ હોવા છતાં 242 કાર્યકરોએ ટિકિટ માંગી હતી. સૌથી વધુ ટિકિટની માંગ વોર્ડ નંબર 9 માં જોવા મળી હતી, જ્યાં 52 કાર્યકરોએ દાવેદારી નોંધાવી. આ વોર્ડમાં માળોદ અને ખેરાળી ગામો ભળતા ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો પણ ઉમેદવાર બનવા ઉત્સુક છે. બીજા ક્રમે વોર્ડ નંબર 13 માં 50 લોકોએ ટિકિટ માંગી છે, જ્યારે સૌથી ઓછા 32 લોકોએ વોર્ડ નંબર 3માં ઉમેદવારી કરી છે. રસપ્રદ વાત એ છે કે, પાલિકા વહીવટના જાણકાર અને કાયદા-નિયમોથી વાકેફ એવા કેટલાક પીઢ નેતાઓએ ટિકિટ માંગવાનું ટાળ્યું હતું. ભાજપની પરંપરા મુજબ, ટિકિટ માંગવાનો અધિકાર સૌને છે. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય મહેશ મોદી અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠક્કરે ઉમેદવાર કાર્યકરોને સાંભળ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાના માર્ગદર્શન હેઠળ પ્રભારી પ્રતાપ ખાચર, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ અને વિપુલ ચૌહાણ સહિતની ટીમે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. ભાજપ દ્વારા ઉમેદવારોના ફોલોઅર્સની માહિતી માંગવા પાછળનો હેતુ તેમના સ્થાનિક ફોલોઅર્સનો લાભ લેવા અને અન્ય જિલ્લાના ફોલોઅર્સ દ્વારા પક્ષના પ્રચારની રણનીતિ ઘડવાનો હોઈ શકે છે. જોકે, અન્ય જિલ્લાના ફોલોઅર્સ સુરેન્દ્રનગરના પ્રચારમાં કેટલી નોંધ લેશે તે પણ એક સવાલ છે. પક્ષમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, ભાજપ નવી ઉમેદવાર ટીમ તૈયાર કરવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂકેલા અને પરિવારવાદના સભ્યોને ટિકિટ ન આપવાનો નિર્ણય લઈ શકે છે. જો આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય, તો હાલ ટિકિટ માંગી રહેલા ઘણા લોકોની દાવેદારી રદ થઈ શકે છે. ઉમેદવારો વધવાના મુખ્ય કારણો
વડોદરા શહેર ભાજપે 3 વર્ષ અગાઉ સસ્પેન્ડ કરેલા કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાને સામી ચૂંટણીએ પુનઃ ભાજપનો ખેસ પહેરાવી ઘરવાપસી કરાવતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ નારાજ થયા છે. અલ્પેશ લિંબાચિયાએ નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા બહાર પડી હોવાનો આક્ષેપ હતો અને તેના માટે તેઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પાર્ટીએ ભાજપાની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ટિકિટ ન આપવી જોઇએઅલ્પેશ લિબચીયાની ઘરવાપસીથી વોર્ડ નંબર-17ના કાઉન્સિલર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ અત્યંત નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ પક્ષના જ હોદ્દેદારો વિરુદ્ધ પત્રિકાઓ વહેતી કરીને ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હોય, તેની ઘરવાપસી સ્વીકાર્ય નથી. રાઠોડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અલ્પેશ લિબચીયાને પરત લેવાથી માત્ર તેઓ જ નહીં, પરંતુ તેમના સમર્થક કાર્યકરોમાં પણ ભારે અસંતોષ છે. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપે પ્રતિષ્ઠાને ધ્યાને લઈને તેઓને પુનઃ ટિકિટ ન આપવી જોઈએ. સોરી કહેશે તો પણ માફ નહીં કરુંનિલેશ રાઠોડે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, મારી સામે પત્રિકા બહાર પાડનાર અલ્પેશ લિબચીયા જો મને સોરી કહેશે તો પણ હું તેને ક્યારેય માફ નહીં કરું. જોકે, તેમણે અંતમાં ઉમેર્યું હતું કે ટિકિટ આપવી કે નહીં તે પક્ષના મોવડી મંડળનો નિર્ણય છે. હાલમાં તો આ ઘરવાપસીએ ભાજપના આંતરિક રાજકારણમાં મોટો વંટોળ ઊભો કર્યો છે, જેની અસર આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સમીકરણો પર જોવા મળી શકે છે. સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશુંભાજપના શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ લિંબાચિયા એ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના કાર્યકર્તા છે. અનેક રીતે એમને પાર્ટીમાં ઘણા બધા એવા કામો પણ કર્યા છે કે જે પાર્ટી હંમેશા યાદ રાખે. કોઈક એક ઘટનાના કારણે સ્વાભાવિક જ છે જેની સામે થયું હોય એને દુખ લાગે, નારાજગી પણ થાય અને એ ઘટનાના કારણે પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ લાંબા સમયથી એમની રજૂઆત હતી અને એમના વર્તન, વાણી અને વ્યવહાર એમને સસ્પેન્ડ કર્યા પછી પણ હંમેશા પાર્ટીને મદદરૂપ થાય એ પ્રકારના જ કામો કર્યા છે. . પાર્ટીમાં જ્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે તો નારાજગી થવાની સંભાવના રહેતી જ હોય છે. ભારતીય જનતા પાર્ટી એ ખૂબ વિશાળ પરિવાર છે, એ પરિવારની અંદર મનદુઃખ એકબીજાને થતું હોય છે. પરંતુ છેવટે બધા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન જરૂરથી કરીશું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોએ પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેમને પૂરતું અને ન્યાયસંગત વળતર આપવામાં આવતું નથી. જિલ્લા પ્રશાસન આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણાવી રહ્યું છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું હનન થઈ રહ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય વળતર વિના જમીન આપવા તૈયાર નથી. આવેદનપત્રમાં તેમણે કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત, માર્કેટ રેટ નક્કી કરવા માટે એક સમિતિ રચવામાં આવે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે તેવી પણ માંગણી છે. ખેડૂતોએ એવી પણ માંગ કરી છે કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું જોઈએ. તેમજ, ખેડૂતોની મંજૂરી વિના તેમની જમીનમાં પ્રવેશ ન કરવો જોઈએ. ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવા જ પ્રોજેક્ટ માટે વધુ સારું વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ જિલ્લામાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આના કારણે નીતિ અને તેના અમલીકરણ વચ્ચે ભેદભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે એક નવો ઈતિહાસ રચ્યો છે. જેમાં આટલા વર્ષોમાં અગાઉ ક્યારેય ન થયું હોય તે રીતે 2025ના વર્ષમાં જ રાજ્યના જુદા-જુદા શહેરોની કુલ 119 ટાઉન પ્લાનિંગ સ્કીમને આખરી મંજૂરી આપી દીધી છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં કુલ 800 ટીપી સ્કીમને મંજૂરી આપી દેવાઈ છે. રૂપાણી સરકારમાં પણ દર વર્ષે સરેરાશ 80થી 90 જેટલી ટીપી સ્કીમને મંજૂરી અપાતી હતી. આટલી ઝડપ છતાં હજુ વિવિધ શહેરોમાં 100 જેટલી ટીપી સ્કીમને મંજૂરી આપવાનું બાકી રહી ગયું છે. એ સિવાયની બાકીની વર્ષોથી લટકતી રહેતી ટીપી સ્કીમોને આખરી મંજૂરી આપી દેવાતા હવે આર્થિક વિકાસ વધશે. શહેરી વિકાસ વિભાગના અધિકારી પ્રકાશ દત્તા આ સંદર્ભમાં જણાવે છે કે, 2025માં 119 ટીપી સ્કીમને મંજૂરી આપી એ બાબત જ દર્શાવે છે કે, સરકાર ખૂબ જ પારદર્શકતાથી કામ કરી રહી છે. વર્ષો જૂની અનેક ટીપીને આખરી મંજૂરી આપી દેવાઈ છે. આમ છતાં હજુ પણ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં 100 જેટલી ટીપી સ્કીમને મંજૂરી આપવાની બાકી રહી ગઈ છે. કેટલાક કારણોથી આવી મંજૂરી આપી શકાતી નથી, પરંતુ હવે આ વર્ષના અંત સુધીમાં બાકીની ટીપીને પણ મંજૂરી મળી જાય તેવા પ્રયાસો કરાશે. તેઓએ કહ્યું કે, રાજ્યમાં 550 જેટલી આખરી નગર રચના યોજનાઓ મંજૂર થઈને અમલમાં છે. ઉપરાંત કુલ 46 નગર રચના અધિકારીઓ દ્વારા 410 પ્રારંભિક નગર રચના યોજનાઓ અને 76 આખરી નગર રચના યોજનાઓની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. હવે ટિકિટ મેળવવા માટે માત્ર ગ્રાઉન્ડ વર્ક જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતા પણ નિર્ણાયક પરિબળ બનશે. ભાજપે પ્રથમ વખત દાવેદારી ફોર્મમાં ઉમેદવારોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને ફોલોવર્સની વિગતો ફરજિયાત કરી છે. ડિજિટલ યુગના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને, ભાજપે ઉમેદવારના ફોર્મમાં એક વિશેષ કોલમ ઉમેરી છે. જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઉમેદવારના કેટલા ફોલોવર્સ છે તેની સચોટ માહિતી આપવી પડશે. પક્ષનું માનવું છે કે જે ઉમેદવાર ડિજિટલ માધ્યમથી મતદારો સાથે જોડાયેલા છે, તેઓ ટૂંકા સમયમાં પોતાની વાત લાખો લોકો સુધી પહોંચાડી શકે છે. નવસારી જિલ્લામાં પણ ભાજપના દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે. નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશ શાહ 3,500 થી વધુ ફોલોવર્સ ધરાવે છે, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના 3,000 થી વધુ ફોલોવર્સ છે. વિજલપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ મોદી પણ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા હવે જીતનું અગત્યનું પાસું છે. અમારા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાની સાથે ગ્રાઉન્ડ લેવલ પર પણ 'હોમ-ટુ-હોમ' સંપર્કમાં છે. આગામી પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભાજપ નિશ્ચિતપણે વિજય મેળવશે. એક તરફ ભાજપ હાઈટેક પ્રચાર તરફ વળી રહ્યું છે, ત્યારે નવસારી કોંગ્રેસે આ અભિગમથી અંતર જાળવ્યું છે. કોંગ્રેસ હજુ પણ પરંપરાગત જનસંપર્ક પર ભાર મૂકી રહી છે અને સોશિયલ મીડિયા ફોલોવર્સને પ્રાથમિકતા આપતી નથી. નવસારી શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજન જોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઉમેદવારો માટે સોશિયલ મીડિયાના ફોલોવર્સની વિગતો આપવી જરૂરી નથી. અમારા માટે ઉમેદવારનો વોર્ડમાં મતદારો સાથેનો સીધો અને રૂબરૂ સંપર્ક જ સૌથી મહત્વનો છે. ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનું વધતું પ્રભુત્વઆધુનિક સમયમાં સોશિયલ મીડિયા પ્રચાર માટેનું સબળ શસ્ત્ર બની ગયું છે: ટાર્ગેટેડ કેમ્પેઈન: ડેટા એનાલિટિક્સ દ્વારા યુવાનો અને ચોક્કસ વિસ્તારના પ્રશ્નો મુજબ જાહેરાતો પ્રસારિત કરવામાં આવે છે. વીડિયો માર્કેટિંગ: રીલ્સ અને ટૂંકા વીડિયો દ્વારા પક્ષની વિચારધારા ઝડપથી ફેલાવી શકાય છે. વોટ્સએપની તાકાત: આઈટી સેલ દ્વારા પાયાના સ્તર સુધી ગ્રાફિક્સ અને મેસેજ પહોંચાડવા સરળ બન્યા છે. પડકારો: ડિજિટલ પ્રચારની સાથે ફેક ન્યૂઝ અને ટ્રોલિંગ જેવી નકારાત્મક અસરો પણ જોવા મળે છે. જે ઉમેદવારો ટેકનોલોજીથી દૂર છે, તેમના માટે બદલાતા સમય સાથે તાલ મિલાવવો હવે કપરું બનશે.
સોમનાથ મંદિરના પાર્કિંગ વિસ્તારમાં એક યાત્રિકનું બેગ મળી આવ્યું હતું, જેમાં રૂપિયા ૨૩,૦૦૦ રોકડા અને એક મોબાઇલ ફોન હતો. સોમનાથ ટ્રસ્ટના સ્ટાફે ઈમાનદારી દાખવી આ બેગ તેના મૂળ માલિકને પરત કર્યું છે. આ બેગ પ્રસાદી કાઉન્ટર પાસે મળી આવ્યું હતું. પ્રસાદી કાઉન્ટર પર ફરજ બજાવતા ક્લાર્ક કમલેશભાઈ ડોડીયા અને સિક્યુરિટી ગાર્ડ સરમણભાઈ રાઠોડે સતર્કતાપૂર્વક બેગને સુરક્ષિત રાખ્યું હતું. યોગ્ય તપાસ બાદ, આ બેગ અમદાવાદના એક યાત્રિકને સહીસલામત પરત કરવામાં આવ્યું હતું. બેગ પાછું મળતા યાત્રિકે બંને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કમલેશભાઈ ડોડીયા અને સરમણભાઈ રાઠોડની આ નિષ્ઠાપૂર્ણ અને ઈમાનદાર કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પણ કર્મચારીઓના આ સરાહનીય કાર્ય બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા સકારાત્મક પ્રસંગો સમાજમાં વિશ્વાસ અને માનવતા વધારવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મેટોડા GIDC ગેઈટ નંબર-1માં આવેલા એક રબરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. રબરનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા વાદળો આકાશમાં ઉંચે સુધી દેખાતા આસપાસના અન્ય કારખાનાના શ્રમિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ મેટોડા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડનું મેજર ઓપરેશનઆગની ગંભીરતાને જોતા રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના ફાયર વિભાગની વધારાની 4 ટીમો પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. હાલ મેટોડા અને રાજકોટ મનપાની સંયુક્ત ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે, જોકે ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. કોઈ જાનહાનિ નહીંરાહતની વાત એ છે કે, જે સમયે આગ લાગી ત્યારે ગોડાઉનમાં હાજર તમામ શ્રમિકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા, જેના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે, રબરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
રાજકોટ રેન્જ પોલીસ ટીમને એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા આશરે રૂ. 8.50 લાખની લૂંટના ગુનામાં પાંચ વર્ષથી ફરાર રૂ. 10,000ના ઇનામી આરોપીને રાજકોટ રેન્જની ટીમે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાથી 'ઓપરેશન નાસતા-ફરતા' હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુના આચરી ફરાર રહેલા ગુનેગારોને પકડવા માટે આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જામનગર પોલીસ અધિક્ષક દ્વારા ઇનામ જાહેર કરાયેલા આરોપીઓને ઝડપી પાડવા અગ્રતા આપવાની સૂચના અપાઈ હતી. રાજકોટ રેન્જ પી.આઈ. આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. સ્ટાફના કાસમ બ્લોચ, સંદીપસિંહ ઝાલા, મિતેશ પટેલ અને કમલેશ રબારીને આરોપીના લોકેશન અંગે સચોટ બાતમી મળી હતી. આ માહિતીના આધારે ટીમે દાહોદ હાઈવે પર રાબડાલ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ભુવાનસિંગ રાયસિંગ વસુનિયા (રહે. મધ્યપ્રદેશ) છે. તેણે અન્ય સાગરીતો સાથે મળીને વર્ષ 2021માં (પંચકોષી બી-ડિવિઝન ગુ.ર.નં. 112/21) વાડીમાં સૂતેલા ફરિયાદી અને સાક્ષીઓને માર મારી રોકડ અને દાગીના સહિત કુલ રૂ. 8.50 લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં તે છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો અને જામનગર પોલીસે તેના પર રૂ. 10,000નું ઇનામ જાહેર કર્યું હતું. આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. સંદીપસિંહ ઝાલા, કાસમ બ્લોચ, સંદીપસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રશિક, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મિતેશ, કમલેશ અને ડ્રાઈવર દિનેશ ગઢવી સહિતની ટીમ જોડાઈ હતી. આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને દરિયાઈ માર્ગે સંભવિત ખતરાઓને રોકવા માટે જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહીઆતંકવાદી ઘટનાઓ બાદ અપાતા હાઈ-એલર્ટ કરતા પણ સામાન્ય સમયગાળામાં સતર્કતા રાખવી વધુ અનિવાર્ય હોવાથી આ સઘન પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા, તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આ સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ03/04/2026ના રોજ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર. યાદવ, સબ ઈન્સ્પેક્ટર ડી.એચ. જાડેજા અને મરીન કમાન્ડોની ટીમોએ જિલ્લાના મહત્વના અને સંવેદનશીલ સ્થળો પર સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. આ કામગીરીમાં વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા: જોડીયા બંદર બાલાચડી વિસ્તાર સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ સચાણા જેટી અને સમગ્ર કોસ્ટલ પટ્ટી શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજરઆ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા દરિયાકાંઠાના લેન્ડિંગ પોઇન્ટ્સ, ફિશિંગ સેન્ટરો અને અવાવરુ સ્થળોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવામાં આવી હતી. કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિ ઉભી થાય તે પહેલાં પૂરતી તકેદારી રાખીને દેશની જળસીમાને સુરક્ષિત રાખવી અને સંભવિત ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવી એ આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ તા. 6 એપ્રિલ, 2026, સોમવારના રોજ સાંજે 5:30 વાગ્યે હોટેલ શિવ સામે, ત્રણબતી ચોક, દ્વારકા ખાતે યોજાશે. ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે, જે પક્ષીઓ પ્રત્યેની સેવાભાવના દર્શાવે છે. સંસ્થા દ્વારા દ્વારકાના તમામ પક્ષીપ્રેમીઓને આ નિઃશુલ્ક વિતરણનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક અને શૈક્ષણિક ઉર્જાના સંગમ સમાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના 'નૂતન સંકુલ'નો 3-દિવસીય ઉદ્ઘાટન સમારોહ ભવ્યતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 'સદધર્મ સમાજસેવા રત્ન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સનાતન જ્ઞાન અને રાષ્ટ્ર નિર્માણનું કેન્દ્રઆ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ મહાવિદ્યાલય માત્ર એક ઈંટ-પથ્થરની ઈમારત કે સંસ્થા નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર 'ચેતના કેન્દ્ર' છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન અને સંસ્કારો વિદ્યાર્થીઓને માત્ર શાસ્ત્રજ્ઞાની જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને આ સંકુલ સાચા અર્થમાં ચરિતાર્થ કરશે. આધુનિકતા અને પરંપરાનો સમન્વયમુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સંસ્કૃત એ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાણ છે. સંસ્કૃત વિના આપણો ઇતિહાસ અને વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત સમજવો અશક્ય છે. રાજ્ય સરકાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ ભાષાના જતન માટે કટિબદ્ધ છે. મુડેટી જેવા અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ આપવાની પહેલને તેમણે બિરદાવી હતી. આ મહાવિદ્યાલય આઝાદીના અમૃતકાળમાં 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી. સંસ્કૃત એ ઋષિમુનિઓનો વારસો: જગદગુરુ શંકરાચાર્યજગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આપેલી સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે નૂતન સંકુલની પ્રશંસા કરતા જણાવ્યું કે, શિક્ષણ અને સંસ્કારના આ સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. તેમણે અનેકતામાં એકતાનો સંદેશ આપતા આ સંસ્થાને વૈદિક પરંપરાના જતન માટેનું આદર્શ કેન્દ્ર ગણાવ્યું હતું. સંસ્થાનો ભવ્ય ઇતિહાસઆ વેદ વિદ્યાલયની સ્થાપના પાછળ એક પવિત્ર સંકલ્પ જોડાયેલો છે. પૂજ્ય નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવા માટે આ બીજ રોપાયું હતું. ત્યારબાદ પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) ની પ્રેરણા અને અનંતદેવ હરિશંકર શુક્લ તથા વૈદ્યરાજ અનિરૂદ્ધ શુક્લના સહયોગથી 1988માં ટ્રસ્ટની પુન: સ્થાપના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરી, 1997ના રોજ આ મહાવિદ્યાલયની શરૂઆત થઈ હતી, જે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને સંસ્કૃતિનું જતન કરી રહ્યું છે. આ ગરિમામય સમારોહમાં સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર, રાજ્યમંત્રી પી.સી. બરંડા, વિવિધ ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 4 એપ્રિલે GT vs RRની મેચ છે. તે પહેલાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ ભગવાન અને અલ્લાહના આશીર્વાદ લેતા જોવા મળ્યાં હતાં. ક્રિકેટરો સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માટે ચાહકોની ભીડ જોવા મળી હતી. રાશિદ ખાને મસ્જિદમાં દુઆ માંગી તો RRના ખેલાડીઓ હનુમાન મંદિરે પુજા કરીગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર અને અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને મેચ પહેલાં 3 એપ્રિલે અમદાવાદની જામા મસ્જિદમાં જઈને દુઆ માંગી હતી. તો બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ મોટેરા સ્ટેડિયમના હનુમાન મંદિરે જઈને પૂજા અર્ચના કરીને જીત માટે આશીર્વાદ માંગ્યા. બન્ને ટીમોના ખેલાડીઓએ પોતાના પોતાના ધર્મ અનુસાર પ્રાર્થના કરીને મેચ માટે તૈયારીઓ કરી છે. જયસ્વાલ અને જુરેલ કેફેમાં જોવા મળ્યાક્રિકેટર યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા ‘Komo by Kaffa’ કેફે ખાતે આજે જોવા મળ્યા હતા. ક્રિકેટર્સે અમદાવાદને ઝગમગાવી દીધું હતું. મેચ પહેલાં બંને ક્રિકેટરે કેફેમાં મોજ માણી હતી.
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા છેલ્લા બે દિવસથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે 1680થી વધુ કાર્યકર્તાઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા જિલ્લાના વિવિધ ઝોનમાં દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવી હતી. કાર્યકર્તાઓની સુવિધા માટે અમરેલી જિલ્લાને સાવરકુંડલા, ધારી અને અમરેલી એમ ત્રણ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 1680 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે. તેમાંથી, માત્ર જિલ્લા પંચાયત માટે જ આશરે 942 દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે. વિધાનસભા વિસ્તાર મુજબ દાવેદારીની વિગતો નીચે મુજબ છે: અમરેલી વિધાનસભા વિસ્તારમાં કુંકાવાવ તાલુકા પંચાયત માટે 89, અમરેલી તાલુકા પંચાયત માટે 101 અને અમરેલી નગરપાલિકા માટે 195 દાવેદારો છે. બાબરા વિધાનસભા વિસ્તારમાં બાબરા તાલુકા પંચાયત માટે 94, બાબરા નગરપાલિકા માટે 110, લાઠી તાલુકા પંચાયત માટે 60 અને દામનગર તાલુકા પંચાયત માટે 75 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં સાવરકુંડલા તાલુકા પંચાયત માટે 143, સાવરકુંડલા નગરપાલિકા માટે 223 અને લીલીયા તાલુકા પંચાયત માટે 22 દાવેદારો છે. ધારી વિધાનસભા વિસ્તારમાં ધારી તાલુકા પંચાયત માટે 56, ધારી નગરપાલિકા માટે 125, બગસરા તાલુકા પંચાયત માટે 48, બગસરા નગરપાલિકા માટે 100 અને ખાંભા તાલુકા પંચાયત માટે 65 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. રાજુલા વિધાનસભા વિસ્તારમાં રાજુલા તાલુકા પંચાયત માટે 125 અને જાફરાબાદ તાલુકા પંચાયત માટે 66 દાવેદારો છે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી 24 કલાકમાં ઉમેદવારોને ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવી શકે છે.
વલસાડ લો કોલેજમાં ABVPનો ઉગ્ર વિરોધ:તપાસ હેઠળના અધિકારીઓને પદ પરથી હટાવવાની માંગ કરી
વલસાડની લો કોલેજમાં ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજના વડા અને અન્ય પ્રાધ્યાપકો સામે ગંભીર આક્ષેપો સાથે આંદોલન શરૂ કરાયું છે. ABVPએ તપાસ હેઠળના અધિકારીઓને પદ પરથી હટાવવાની માંગ કરી છે, જેથી પુરાવા સાથે છેડછાડ ન થાય. ABVPના કાર્યકરોએ જણાવ્યું કે, જે અધિકારી કે વ્યક્તિ સામે તપાસ ચાલતી હોય, તેમને પદ પર ચાલુ રાખવાથી પુરાવાનો નાશ થવાની કે તેમાં છેડછાડ થવાની શક્યતા રહે છે. સંગઠનનો આરોપ છે કે સંસ્થાના વડા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને તપાસને પ્રભાવિત કરી શકે છે. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિદ્યાર્થીઓએ ABVPના પ્રતિનિધિઓને જણાવ્યું કે, સંસ્થાના વડા અને પ્રાધ્યાપકો દ્વારા તેમના પર માનસિક દબાણ લાવવામાં આવી રહ્યું છે. સત્તાનો દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓને ધાક-ધમકી અને પ્રલોભન આપી, કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી બળજબરીપૂર્વક સત્તાધીશોના હિતમાં હોય તેવું લખાણ ગેરકાયદેસર રીતે લખાવી લેવામાં આવ્યું છે. ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે જો તટસ્થ તપાસ માટે જવાબદારોને પદ પરથી દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મુદ્દો હાલ શૈક્ષણિક જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને કોલેજ પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થયા છે.
સાબરકાંઠા જિલ્લામાં 6 PI અને 1 PSIનું પોસ્ટિંગ:પોલીસ વિભાગમાં બદલીઓ બાદ નવા અધિકારીઓની નિમણૂક
સાબરકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા 6 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 1 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. રાજ્યમાં થયેલી PIની બદલીઓ બાદ આ નિમણૂકો કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યભરમાં PIની બદલીઓ થઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી 8 PIની બદલી અન્ય જિલ્લાઓમાં કરવામાં આવી હતી. તેના બદલામાં, અન્ય જિલ્લાઓમાંથી 8 PI સાબરકાંઠા જિલ્લામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આ પોસ્ટિંગના આદેશો જારી કર્યા છે. જેમાં લીવ રિઝર્વમાં મુકાયેલા PI એ.આર. ચૌધરીને ગાભોઈ પોલીસ સ્ટેશન, આર.એ. ચૌધરીને ઇડર પોલીસ સ્ટેશન, વી.એમ. ચૌધરીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, ડી.વી. હડાતને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, એસ.એમ. લાસનને IUCAW યુનિટ અને એચ.જે. પટેલને જાદર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત, PSI બી.ડી. રાઠોડને વિજયનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ PI તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ઇકબાલગઢ-ખારા પુલ 62 દિવસ બંધ:બનાસ નદી પર સમારકામ, વૈકલ્પિક માર્ગ યુદ્ધના ધોરણે તૈયાર
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ-ખારા માર્ગ પર આવેલા બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતની કામગીરી શરૂ થઈ છે. આ કારણે આગામી 62 દિવસ માટે પુલ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, વાહનચાલકોની સુવિધા માટે વિશ્વેશ્વર નદીમાંથી યુદ્ધના ધોરણે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા કરાયેલા રૂટીન ઇન્સ્પેક્શનમાં પુલમાં મરામતની આવશ્યકતા જણાતા, સરકારે આ કાર્ય માટે રૂ. 474 લાખની વહીવટી મંજૂરી આપી છે. હાલમાં પુલના બેરીંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્સન જોઈન્ટની કામગીરી ચાલી રહી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર પ્રતિબંધિત કરાયો છે. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ, તા. 02/04/2026 થી તા. 02/06/2026 (કુલ 62 દિવસ) સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇકબાલગઢથી ખારા તરફ જતા વાહનોએ ઇકબાલગઢથી સરોત્રા, ઘાંટા અને વેરા-બાલુન્દ્રા ત્રણ રસ્તા થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહેશે. ખારાથી ઇકબાલગઢ આવવા માટે બાલુન્દ્રા ત્રણ રસ્તાથી વેરા, ઘાંટા અને સરોત્રા વાળો માર્ગ ઉપયોગમાં લેવાનો રહેશે. જોકે, અગાઉ સૂચવેલા વૈકલ્પિક માર્ગને કારણે બાલુન્દ્રા અને ખારા તરફના મોટાભાગના ગામોના લોકોને 15 થી 20 કિલોમીટર લાંબુ અંતર કાપવું પડતું હતું, જેનાથી મુશ્કેલીઓ સર્જાઈ હતી. આ સમસ્યાને પગલે 15 થી વધુ ગામના આગેવાનોએ એકત્ર થઈને અધિકારીઓને રજૂઆત કરી હતી. જેના પરિણામે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશ્વેશ્વર નદીમાંથી યુદ્ધના ધોરણે નવો વૈકલ્પિક રસ્તો બનાવવાનું શરૂ કરાયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રસ્તો આજ સાંજ સુધીમાં તૈયાર થઈ જશે અને આવતીકાલથી તેનો ઉપયોગ થઈ શકશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં લોકોને વધુ સુરક્ષિત અને સુગમ્ય વાહનવ્યવહારની સુવિધા મળી રહે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ હૃદયરોગના દર્દીઓની સુવિધા માટે 12 કરોડના ખર્ચે અત્યાધુનિક મશીનો ફાળવવામાં આવ્યા છે. ગરીબ દર્દીઓને એન્જિયોગ્રાફી અને હાર્ટ સર્જરી જેવી મોંઘી સારવાર મફત મળે તે માટે આ મશીનરી લવાઈ હતી. જોકે, દુર્ભાગ્યની વાત એ છે કે છેલ્લા 11 મહિનાથી આ મશીનો હોસ્પિટલમાં આવી ગયા હોવા છતાં, હૃદયના દર્દીઓ માટે તેનો ઉપયોગ 'શૂન્ય' રહ્યો છે. કરોડો રૂપિયાના સાધનો હોસ્પિટલના ખૂણામાં ધૂળ ખાઈ રહ્યા છે, જ્યારે શહેરના હૃદયરોગના દર્દીઓ મોંઘી ફી ભરીને ખાનગી હોસ્પિટલોના પગથિયાં ચઢવા મજબૂર બન્યા છે. હૃદય માટેની કેથલેબ મશીનનો અન્ય વિભાગોમાં ઉપયોગસિવિલ હોસ્પિટલમાં જે કેથલેબ મશીન લાવવામાં આવ્યું છે, તેનો મુખ્ય હેતુ હૃદયની જટિલ સર્જરી અને એન્જિયોગ્રાફી કરવાનો હતો. પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે, અત્યાર સુધી આ મશીનથી હૃદયની એક પણ સર્જરી કરવામાં આવી નથી. હાલમાં આ મશીનનો ઉપયોગ માત્ર ન્યુરોલોજી અને અન્ય વિભાગો માટે કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ન્યુરોલોજીની એક સર્જરી આ મશીન દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી, પરંતુ જે 'કાર્ડિયાક પેશન્ટ્સ' માટે આ મશીન ખાસ મંગાવવામાં આવ્યું હતું, તેમને તેનો કોઈ જ લાભ મળી રહ્યો નથી. હૃદય વિભાગ માટે આવેલું સાધન અન્ય કામોમાં વપરાતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 11 મહિનાથી આવેલા હાર્ટ મશીનો હજુ પણ સીલપેકનવી સિવિલ હોસ્પિટલના ચોથા માળે સ્થિતિ અત્યંત ગંભીર છે. હૃદયરોગની તપાસ માટે અતિ ઉપયોગી એવા મશીનો હજુ પણ કાગળના પેકિંગ બોક્સમાં જ બંધ હાલતમાં પડ્યા છે. આ બોક્સ પર સ્પષ્ટપણે 'ડિસ્પેચ ઇન્સ્પેક્શન એપ્રિલ 2025'ના સીલ જોવા મળી રહ્યા છે. 11 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ બોક્સ ખોલવાની તસ્દી પણ લેવામાં આવી નથી. હૃદયની તપાસ માટેના આ સાધનો ઇન્સ્ટોલ કરવાને બદલે બંધ રૂમમાં તાળા હેઠળ રાખવામાં આવ્યા છે, જે તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે. આ મશીનનો ઉપયોગ માત્ર ન્યુરોલોજી અને એનેસ્થેસિયા (NSC) વિભાગ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે. તાજેતરમાં ન્યુરોલોજીની એક સફળ સર્જરી આ મશીન દ્વારા કરવામાં આવી છે, પરંતુ જે મુખ્ય હેતુ (હૃદયરોગની સારવાર) માટે આ મશીન લાવવામાં આવ્યું હતું, તે હેતુ હજુ સુધી સિદ્ધ થયો નથી. કાર્ડિયાક સર્જનના અભાવે 12 કરોડની મશીનરી બેકારમશીનો હોવા છતાં તેનો ઉપયોગ ન થવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે નવી સિવિલ હોસ્પિટલ પાસે હૃદયરોગના ઓપરેશન કરી શકે તેવા 'કાર્ડિયાક સર્જન' જ નથી. એન્જિયોગ્રાફી જેવી પાયાની તપાસ માટે પણ હોસ્પિટલ પાસે નિષ્ણાત ડોક્ટરોની ટીમ નથી. આર.એમ.ઓ કેતન નાયકે કબૂલાત કરી છે કે, સુરત સિવિલ પાસે હાલ એક પણ કાર્ડિયાક સર્જન ઉપલબ્ધ નથી. સાધનો હોવા છતાં નિષ્ણાત માનવબળના અભાવે હૃદયરોગના દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર આપીને ખાનગી હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવે છે, જ્યાં તેમને હજારો-લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. હાઈ-ટેક મશીનો હોવા છતાં દર્દીઓની જૂની ટેકનોલોજીથી તપાસકેન્દ્ર સરકાર દ્વારા અત્યાધુનિક TMT (ટ્રેડમિલ ટેસ્ટ) મશીનો પણ હૃદયના દર્દીઓ માટે મોકલવામાં આવ્યા છે. આ નવા મશીનો અત્યારે બંધ રૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યારે પણ જૂના થઈ ગયેલા TMT મશીનનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવા અને હાઈ-ટેક મશીનો હોવા છતાં દર્દીઓને જૂની ટેકનોલોજીથી તપાસવામાં આવી રહ્યા છે. જો આ નવા મશીનો સમયસર શરૂ કરવામાં આવે તો હૃદયના ધબકારા અને બ્લોકેજની તપાસ વધુ સચોટ રીતે થઈ શકે તેમ છે, પરંતુ તંત્રની આળસને કારણે આ સુવિધા તાળામાં બંધ છે. તંત્રની આળસને કારણે આ સુવિધા તાળામાં બંધનવી સિવિલ હોસ્પિટલ પાસે નવા મશીનોનો સ્ટોક હોવા છતાં, હાલમાં જુના થઈ ગયેલા ટી.એમ.ટી મશીનનો ઉપયોગ કરીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. આર.એમ.ઓ કેતન નાયકના જણાવ્યા મુજબ, TMT મશીનો ઇન્સ્ટોલ થઈ ગયા છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. દર્દીઓને અત્યાધુનિક સુવિધાનો લાભ આપવાને બદલે જુના સંસાધનો પર જ નિર્ભર રાખવામાં આવી રહ્યા છે. હૃદય વિભાગ માટે જગ્યાનો અભાવ અને અનિશ્ચિતતાસરકાર દ્વારા નવી સિવિલમાં અલાયદો 'હાર્ટ વિભાગ' શરૂ કરવા માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સાથે વાટાઘાટો ચાલી રહી છે. યુ.એન. મહેતા હોસ્પિટલે આ માટે 4 માળની જગ્યા માંગી છે, પરંતુ સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે જગ્યાનો અભાવ હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી જગ્યા ફાળવવામાં ન આવે અને યુ.એન. મહેતાની ટીમ અહીં ન આવે, ત્યાં સુધી આ 12 કરોડના હૃદયના મશીનો વણવપરાયેલા જ રહેશે. પ્રશ્ન એ થાય છે કે જો વિભાગ શરૂ કરવાની તૈયારી નહોતી, તો કરોડોના મશીનો 11 મહિના પહેલા મંગાવીને શા માટે ધૂળ ખાવા માટે મૂકી રાખવામાં આવ્યા છે?.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની લાઈફલાઈન ગણાતી BRTS સેવામાં છેલ્લા લાંબા સમયથી મેન્ટેનન્સના અભાવે બંધ પડેલા 270 જેટલા ઓટોમેટિક સ્વિંગ ગેટને ફરીથી શરૂ કરવા માટે પાલિકાના ટ્રાફિક અને BRTS પ્રોજેક્ટ સેલ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 2,37,86,156ના ખર્ચનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગેટ બંધ હોવાથી મુસાફરો ગમે ત્યાંથી પ્રવેશ કરતા હતાંસુરત BRTS સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા અને અનધિકૃત પ્રવેશ રોકવા માટે ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા. જોકે, યોગ્ય જાળવણીના અભાવે અને ટેકનિકલ ખામીઓને કારણે મોટાભાગના ગેટ લાંબા સમયથી બંધ હાલતમાં હતા. આ ગેટ બંધ હોવાને કારણે મુસાફરો ગમે ત્યાંથી કોરિડોરમાં પ્રવેશતા હતા, જેનાથી અકસ્માતનો ભય રહેતો હતો. હવે પાલિકાએ આ ખામી સુધારવા માટે કમર કસી છે. પાલિકાએ ટેન્ડરમાં કડક શરત મૂકી ભૂતકાળમાં ગેટ રિપેર થયા બાદ ફરી બગડી જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ ટેન્ડરમાં કડક શરત મૂકી છે. જે એજન્સીને આ કામ સોંપવામાં આવશે, તેણે માત્ર ગેટ રિપેર નથી કરવાના, પરંતુ આગામી 5 વર્ષ સુધી તેનું સંપૂર્ણ મેન્ટેનન્સ અને જાળવણી પણ કરવાની રહેશે. આ શરતને કારણે હવે એજન્સીએ કામની ગુણવત્તા જાળવવી પડશે. કમિશનરે વિઝિટ કરી ખાનગી વાહનોને રોક્યાં હતાંથોડા દિવસો પહેલા જ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજ પોતે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે બીઆરટીએસ કોરિડોરમાં અચાનક વિઝિટ કરી હતી અને ગેરકાયદેસર રીતે કોરિડોરમાં વાહનો ચલાવતા ખાનગી વાહન ચાલકોને અટકાવીને સ્થળ પર જ શિસ્તના પાઠ ભણાવ્યા હતા. કમિશનરની આ કડકાઈ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને બીઆરટીએસ સિસ્ટમને સંપૂર્ણપણે સ્માર્ટ બનાવવાની દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મોરબીના કમલમ કાર્યાલય ખાતે ગઈકાલે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જૂના જનસંઘના સભ્ય અને સામાજિક કાર્યકર બાબુલાલ મોહનભાઈ સરડવાએ લેખિત રજૂઆત કરી હતી. તેમણે આગામી મહાપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પૂર્વ સભ્યને ટિકિટ ન આપવાની માંગ કરી છે. સરડવાએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા માટે સ્વચ્છ છબી ધરાવતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોકટરો, એડવોકેટ અને ઇજનેરો જેવા નવા ચહેરાઓને ટિકિટ આપવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકાના અગાઉના 52 સભ્યોની બોડીએ વ્યાપક ભ્રષ્ટાચાર આચરી મોરબીની જનતાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચાડ્યું છે. તેમણે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં ધારાસભ્યએ કહ્યું હતું કે પાલિકાની બોડીએ ભ્રષ્ટાચાર કરીને પાલિકાને તળિયાઝાટક કરી નાખી છે. આ કારણોસર, સરડવાએ સ્પષ્ટપણે માંગ કરી છે કે અગાઉના 52 સભ્યોમાંથી એક પણ સભ્યને ફરીથી ટિકિટ ન આપવામાં આવે. બાબુલાલ સરડવાએ પોતાની રજૂઆતમાં જૂના જનસંઘ અને ભાજપ તેમજ હાલના ભાજપ વચ્ચેના તફાવત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપની છબી સુધરે અને શહેરનો સારો વિકાસ થાય તે માટે આ રજૂઆત કરવામાં આવી છે.
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 જાંબુઆ બ્રિજ પર ગતમોડી રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. ટેન્કરમાં કેમિકલ ભરેલ હોવાનો ફાયર વિભાગને કોલ મળતા પાંચ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે અંદર એસિડ હોવાનું સામે આવ્યું હતું અને આગ વિકરાળ બનતા ચાર કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી. ટાયરની આગે આખા ટેન્કરને ઝપેટમાં લીધુમળતી માહિતી મુજબ, ટેન્કરના ટાયરમાં બૂસ્ટર જામ થવાથી આગ લાગી હતી, જે ઝડપથી આખા ટેન્કરમાં ફેલાઈ ગઈ હતી. ટેન્કરમાં ‘બેસ્ટ’ નામનું એસિડ ભરેલું હોવાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે હડકાટ ફેલાયો હતો. આ ટેન્કર રાજસ્થાનથી દહેજ તરફ જઈ રહ્યું હતું. આગ લાગતાં નેશનલ હાઈવે પર દૂર સુધી જવાળાઓ દેખાવા લાગી હતી. વાહન-વ્યનવહાર ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતીઆગ અંગેની જાણ થતાં GIDC ફાયર સ્ટેશનની ટીમ સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પાણીગેટ, ERC, TP-13 અને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમો પણ ત્યાં પહોંચીને આગ બુઝાવવાના કામે લાગી ગઈ હતી. પાંચ ફાયર વિભાગની ટીમોએ ચાર કલાકની સતત અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે નેશનલ હાઈવે પર વાહન-વ્યવહારને અસ્થાયી રૂપે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આશરે 23 ટન એસિડ ભસ્મીભૂતઆ ભીષણ આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જોકે, ટેન્કરમાં ભરેલા આશરે 23 ટન એસિડ સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. આગના કારણે ટેન્કર પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) એ પોરબંદર જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીએ પ્રથમ તબક્કે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં દેગામ બેઠક પર સુમરીબેન નાથા કુછડીયા, ખાગેશ્રી બેઠક પર મેરુ રણમલ ઓડેદરા, મોઢવાડા બેઠક પર નીતાબેન સાદીયા, રાણા કંડોરણા-1 બેઠક પર કરણ કોડિયાતર, રાણા કંડોરણા-2 બેઠક પર બુટાણી રાજેશ અને વિસાવાડા બેઠક પર હિતેશ મોઢવાડીયાનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે, પાયાના કાર્યકરો અને જનતાની વચ્ચે રહીને કામ કરતા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. 'આપ' શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નોને મુખ્ય મુદ્દા બનાવી ભાજપ અને કોંગ્રેસ સામે મજબૂત પડકાર ફેંકવાની તૈયારીમાં છે. ખાસ કરીને રાણા કંડોરણા અને વિસાવાડા જેવી મહત્વની બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને પાર્ટીએ પરિવર્તનનો સંકેત આપ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર વધુ તેજ બનશે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવ નગર-3માં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ અચાનક હિંસક વળાંક લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ યુવક હાથમાં મોટું દાતરડું લઈને ત્યાં પહોંચી ગયો હતો અને ઉભેલા 15થી 20 લોકોના ટોળા સામે જ એક વ્યક્તિ પર હુમલો કરવા દોડ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ હુમલા દરમિયાન કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી. હુમલાનો લાઈવ વીડિયો મોબાઈલના કેમેરામાં કેદજ્યારે આ હિંસક ઘટના બની, ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ હિંમત દાખવીને સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. વાઇરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આરોપી યુવક કેવી રીતે દાતરડું હવામાં વીંઝી રહ્યો છે અને એક વ્યક્તિ પર પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આટલી ભીડ વચ્ચે હુમલો કર્યા બાદ પણ આરોપી કોઈ પણ પ્રકારના ડર વગર અત્યંત આરામથી ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ વીડિયો વાઇરલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી. ડીંડોલી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસનો પ્રારંભસોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ ડીંડોલી પોલીસની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. સામાન્ય રીતે કોઈ પણ ગુનામાં ફરિયાદીની જરૂર હોય છે, પરંતુ આ કિસ્સામાં કોઈ પણ ભોગ બનનાર કે સાક્ષી સામે ન આવતા પોલીસે ગંભીરતા સમજીને પોતે જ ફરિયાદી બની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિડિયોમાં દેખાતા દૃશ્યો ખૂબ જ ગંભીર છે અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરોપીની ઓળખ થઈ, ધરપકડ માટે ચક્રો ગતિમાનડીંડોલી પોલીસ મથકના પીઆઈ પી.એલ. વાઘેલાએ આ મામલે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસની એક ટીમ તાત્કાલિક આરોપીના ઘરે પહોંચી હતી, પરંતુ તે ત્યાં મળી આવ્યો ન હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર યુવક લીંબાયત વિસ્તારના રુસ્તમપુરાનો રહેવાસી છે. ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા રુસ્તમપુરામાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીના સંભવિત આશ્રયસ્થાનો પર વોચ રાખી રહી છે. ટૂંક સમયમાં આરોપી જેલના સળિયા પાછળ હશે: પોલીસપોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પીઆઈ વાઘેલાએ વધુમાં ઉમેર્યું કે, આરોપીની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને ખૂબ જ ટૂંકા સમયમાં તેને ઝડપી પાડવામાં આવશે.
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ અને મહિલા મંડળ - વડતાલ, શાખા: વડોદરા દ્વારા માસિક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં વડતાલગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ભક્તોને અમૃતવાણીનું રસપાન કરાવશે. આ આયોજન વડતાલગાદીના સનાતન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સહિત સમગ્ર શ્રી ધર્મકુળ પરિવારના આશીર્વાદથી કરવામાં આવ્યું છે. સત્સંગ સભા શનિવાર, 04/04/2026 ના રોજ સાંજે 5:30 કલાકથી 8:00 કલાક સુધી યોજાશે. સ્થળ: રાહુલભાઈ જગદીશભાઈ પટેલ, 20, શિવેન એન્કલેવ, ખોડીયાનગર રણછોડનગરની બાજુમાં, સિદ્ધેશ્વર હેપ્પી લાઈફની પાછળ, દરબાર ચોકડી બ્રિજ સામે છેડે, ન્યુ માંજલપુર, વડોદરા. આ સત્સંગ સભામાં વડતાલથી 108 ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સંતો સાથે પધારીને ભક્તોને અમૃતવાણીનું રસપાન કરાવશે. સત્સંગ સભાના અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ફરી એકવાર વિદેશમાં નોકરી અપાવવાના બહાને લાખોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મિલન બારોટ સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વિદેશમાં સેટિંગ હોવાનું અને દર મહિને અનેક લોકોને મોકલતા હોવાનું કહી વિશ્વાસ જીત્યો હતો. ટોપ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાનું વચન આપ્યું હતું. વિશ્વાસમાં આવીને મિલને ડોક્યુમેન્ટ સાથે બેંકના કોરા ચેક અને 12 લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં વિદેશમાં મોકલવામાં ન આવતા ફરિયાદીએ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રૂપિયા પણ પરત ન આપતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ બે લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા હોવાથી ઈમિગ્રેશન લોયર સાથે મુલાકાત કરીરાણીપમાં રહેતા 35 વર્ષીય મિલન બારોટ સાથે લાખોની ઠગાઈ આચરવામાં આવી છે. મિલન બારોટ ધંધો કરે છે અને તેને યુરોપમાં વર્ક પરમિટથી નોકરી કરવા માટેની ઈચ્છા હતી. જેથી તેને તેની સાથે નોકરી કરતા ભાવેશ પટેલ નામના મિત્રને વાત કરી હતી. ભાવેશ પટેલને પણ વિદેશ જવાની ઈચ્છા હોવાથી બંને લોકો સારા એજન્ટની શોધમાં હતા. ત્યારે ભાવેશ પટેલના એક મિત્રએ તેને ઉસ્માનપુરામાં આવેલા નૈમેષ શાહ નામના ઈમિગ્રેશન લોયરનો રેફરન્સ આપ્યો હતો. જે બાદ જુલાઈ 2024માં બંને મિત્ર નૈમેષ શાહની ઓફિસે ગયા હતા. જ્યાં વિદેશમાં વર્ક પરમિટથી વિઝા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટોપ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાની લોભામણી લાલચ આપીજે દરમિયાન નૈમેષ શાહે તેની વિદેશમાં સારી ઓળખાણ હોવાની અને દર મહિને 15થી 20 લોકોને વર્ક પરમિટ વિઝા અપાવી સારી કમાણી માટે વિદેશમાં મોકલતા હોવાની લાલચ આપી હતી. યુરોપના ટોપ 5 દેશમાંથી કોઈ એક દેશના વર્ક પરમીટ બીજા અપાવી દેશે અને વીઝા આવી ગયા બાદ 12થી 13 લાખ સુધીનો ચાર્જ લેવાનો નક્કી કરવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ વિશ્વાસમાં આવીને તમામ અસલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. જે બાદ નૈમેષ શાહ દ્વારા કોરા ચેક માંગવામાં આવ્યા હતા. જેથી કોરા ચેક માંગવામાં આવતા ભાવેશ પટેલે તેના અસલ ડોક્યુમેન્ટ પર માંગી લીધા હતા, પરંતુ મિલન બારોટને વિદેશમાં જવાની ઇચ્છા હોવાથી તેને બેંકના કોરા ચેક પણ આપી દીધા હતા. ફિનિશ રેસીડેન્સ પરમિટ કાર્ડ આવી ગયું હોવાનું કહી 12 લાખ લીધાફિનિશ રેસીડેન્સ પરમિટ કાર્ડ આવી ગયું હોવાનું કહી ફરિયાદી પાસેથી નૈમેષ શાહે પૈસાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ નૈમેષ શાહના કહેવાથી 12 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જે બાદ ફરિયાદીએ તમામ પૈસા આપ્યા બાદ અસલ ડોક્યુમેન્ટની માંગણી કરતા એક બે દિવસમાં તમામ આપી દેવાનું વચન આપવામાં આવ્યું હતું. જે બાદ 25 ડિસેમ્બરના રોજ વિદેશ મોકલવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ અનેક દિવસ બાદ પણ વિદેશ મોકલવામાં ન આવતા આખરે ફરિયાદીએ નૈમેષ શાહ પાસે અસલ ડોક્યુમેન્ટ અને રૂપિયાની માંગણી હતી, પરંતુ 12 લાખ રૂપિયા પરત ન આપતા આખરે ફરિયાદીએ બે લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં તસ્કરોએ એક પશુપાલક પરિવારના ખેતરમાં આવેલા તબેલામાંથી રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સો ચાર ભેંસોની ચોરી કરી નાસી ગયા હોવાની ઘટના સામે આવી છે. આશરે પોણા ચાર લાખ રૂપિયાની કિંમતના પશુઓની ચોરી થતા પશુપાલક પરિવારે દહેગામ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. બહિયલ-કપડવંજ રોડ પરની ઘટનાપ્રાપ્ત વિગતો મુજબ, બહિયલ ગામના ગજેન્દ્રસિંહ કલ્યાણસિંહ ચૌહાણે દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગજેન્દ્રસિંહ અને તેમનો પરિવાર પશુપાલન અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં જ બહિયલ-કપડવંજ રોડ પર તેમનું ખેતર આવેલું છે, જ્યાં તેમણે પશુઓ રાખવા માટે તબલો બનાવ્યો છે. પાડોશીએ ફોન કરી ઘટનાની જાણ કરીગત 31 માર્ચના રોજ રાત્રિના સમયે ગજેન્દ્રસિંહ અને તેમના પત્ની અમરતબેન પશુઓને ઘાસચારો નાખી ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે એટલે કે 1 એપ્રિલના રોજ સવારે જ્યારે પરિવાર ખેતરે જવા રવાના થયો ત્યારે રસ્તામાં બાજુનાં ખેતરના માલિકે ફોન દ્વારા જાણ કરી હતી કે તબેલાના દરવાજા ખુલ્લા છે. આ સાંભળી ગજેન્દ્રસિંહ તાત્કાલિક તબેલા પર પહોંચ્યા તો ત્યાંનું દૃશ્ય જોઈ તેમના હોશ ઉડી ગયા હતા. બે ભેંસો ફરિયાદીના ભાઈની હતીતેમના તબેલામાં બાંધેલી કુલ 4 ભેંસ ગાયબ હતી. જે અંગે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તસ્કરોએ તબેલાના લોખંડના ગેટની સાંકળ કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને પશુઓને ચોરી ગયા હતા. ચોરી થયેલા પશુઓમાં એક ગાભણ ભેંસ, એક પાડી અને ગજેન્દ્રસિંહના મોટાભાઈ અજીતસિંહની બે ભેંસો મળીને અંદાજે 3,85,000 રૂપિયાની કિંમતના પશુધનની ચોરી થઈ છે. 3 દિવસની શોધખોળ બાદ ફરિયાદ નોંધાવીશરૂઆતમાં પરિવારે પશુઓ ક્યાંક છૂટા પડીને આજુબાજુના ખેતરોમાં નીકળી ગયા હશે તે આશાએ ત્રણ દિવસ સુધી શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે ચોરી થયાની ખાતરી થઈ હતી. ત્યારે એકસાથે ચાર પશુઓની ચોરી થતા દહેગામ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા વખતથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી પશુચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક પશુપાલકોમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
મીઠાપુર ખાતે રઘુવંશી ગ્રુપ દ્વારા આરપીએલ-2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા અને આરંભડા સહિતના વિસ્તારોમાં રહેતા લોહાણા જ્ઞાતિના યુવા ખેલાડીઓ માટે છે. તેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વિધિ સાથે થયો હતો. દીપ પ્રાગટ્ય ઓખા મંડળના વેપારી અગ્રણી અને હોટલીયર બિપીનભાઈ સામાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પરિમલભાઈ દાસાણી, રાજુભાઈ સુતરીયા, પ્રભુદાસભાઈ અને દિલીપભાઈ કોટેચા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ મહાનુભાવોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આરપીએલ-૨૦૨૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખેરાલુ તાલુકાના ડભોડા ગામની સીમમાં રસ્તા બાબતે અને સામાન્ય બોલાચાલીમાં પાડોશીઓ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમજાવવા ગયેલી મહિલાઓ પર ધારિયા અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ ઝઘડામાં એક પક્ષના સુરેખાબેનને કાનના પાછળના ભાગે ધારીયાનો ઘા વાગતા અને બીજા પક્ષના હંસાબેનના માથામાં ધારિયું ઝીંકાતા બંને મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બંનેને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા બંનેને ટાંકા આવ્યા હતા. હુમલાખોરોએ જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી છે. જે અંગે ખેરાલુ પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ ફરિયાદસુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યાડભોડા ગામના સુરેખાબેન વિનુજી ઠાકોર ગઈકાલે સવારે પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમના કુટુંબી નિરમાબેન ઠાકોરના ઘરે પાડોશમાં રહેતા સ્નેહાબેન ઠાકોર ગાળાગાળી કરી રહ્યા હોવાથી સુરેખાબેન ત્યાં સમજાવવા ગયા હતા. આ દરમિયાન સ્નેહાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને તેમનું ઉપરાણું લઈને આવેલા ભરતજી ઈશ્વરજી ઠાકોર, અજયજી દશરથજી ઠાકોર (બંને રહે. ડભોડા) અને હંસાબેન ફુલાજી ઠાકોર (રહે. વિસનગર) એ ભેગા મળી સુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. 'આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું' આ મારામારી દરમિયાન ભરતજી ઠાકોરે ઉશ્કેરાઈને ધારિયાના ઉંધા ભાગ વડે સુરેખાબેનને ડાબા કાનના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બૂમાબૂમ થતા પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોરો 'આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. મહિલાને કાનના ભાગે ચાર ટાંકા આવતા પોલીસમાં ફરિયાદઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને કાનના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. આ મામલે સુરેખાબેને ચારેય હુમલાખોરો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ફરિયાદત્રણ શખસોએ દોડી આવી ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યોડભોડા ગામની સીમમાં રહેતા સ્નેહાબેન ઠાકોર અને તેમની બહેન ઘરે હાજર હતા, ત્યારે પડોશમાં રહેતા નિરમાબેન શંકરજી ઠાકોર રસ્તા બાબતે ગાળાગાળી કરી રહ્યા હતા. આ સમયે સ્નેહાબેનના ઘરે સામાજિક પ્રસંગે આવેલા તેમના ફોઈ અને અન્ય સંબંધીઓએ ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો. નિરમાબેનના સમર્થનમાં અન્ય ત્રણ શખ્સો વિનુજી હરીજી, સુર્યાબેન વિનુજી અને શંકરજી વેલાજી પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો. ધારિયું મહિલાના માથામાં મારી દેતા ચાર ટાંકા આવ્યાઆ ઝઘડા દરમિયાન આરોપીઓએ સ્નેહાબેન અને તેમના ફોઈ વિજયાબેન સાથે ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન, ઉશ્કેરાયેલા શંકરજી વેલાજીએ પાસે પડેલું ધારિયું લાવી સ્નેહાબેનના ફોઈ હંસાબેનના માથામાં ડાબી બાજુએ ઝીંકી દીધું હતું. હુમલામાં હંસાબેન લોહીલુહાણ થઈ જતાં તેમને તાત્કાલિક 108 મારફતે ખેરાલુ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ચાર ટાંકા આવ્યા હતા. પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીહુમલાખોરોએ જતી વખતે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે સ્નેહાબેન ઠાકોરે નિરમાબેન, વિનુજી, સુર્યાબેન અને શંકરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે રોડ પર કાર વાળવા જેવી નજીવી બાબતમાં બે હિન્દીભાષી શખ્સોએ એક યુવાન અને તેના ભાઈ સાથે માથાકૂટ કરી, માર મારીને કિંમતી ઘડિયાળની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાઈ છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને આર.ટી.ઓ. કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલ ઉ.વ. 29 ગત રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ભાઈ અને મિત્ર સાથે મિત્રની ઓરા કાર નંબર DD 01 C 3181 લઈને સરદારનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે વેળા એ તેમના પત્નીનો ફોન આવતા કે તેમની તબિયત ખરાબ છે, ભગીરથસિંહે ઉતાવળમાં મેઘાણી ઓડિટોરિયમ પાસેના વળાંકથી કાર પરત વાળી હતી, કાર વાળતી વખતે સામેથી ચાલીને આવતા બે શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને દેખ કે ચલા, અંધા હૈ ક્યા? તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. ભગીરથસિંહ અને તેમના ભાઈ દિપેન્દ્રસિંહ કારમાંથી નીચે ઉતરી ગાળો બોલવાની ના પાડતા, બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી, ભોગ બનનાર યુવાને જ્યારે આ શખ્સોને તેમના નામ પૂછ્યા ત્યારે એકે પોતાનું નામ અમિત જયોતિકુમાર રાકેશ અને બીજાએ દિપક જયસ્વાલ હોવાનું જણાવ્યું હતું, આ ઝપાઝપી દરમિયાન અમિત નામના શખ્સે ભગીરથસિંહના હાથમાંથી રૂપિયા 12,800ની કિંમતની ટાઇટન કંપનીની ઘડિયાળ ઝૂંટવી લીધી નાસી છૂટ્યો હતો, લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સો અલગ-અલગ દિશામાં ભાગ્યા હતા, આ મામલે ભગીરથસિંહે બંને શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 309(4), 115(2), 352 તથા 54 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના હૃદય સમાન સેલવાસના ડેમ વિસ્તારની સમીપમાં આવેલ નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ થતા સમગ્ર પંથક ધ્રૂજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનાએ ઉદ્યોગ જગત અને સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. અત્યંત ચોંકાવનારી વિગત એ છે કે, આ મોતના ગોડાઉન જેવું જોખમી એકમ એક શૈક્ષણિક સંકુલ એટલે કે સ્કૂલથી માત્ર 30 મીટરના અલ્પ અંતરે જ આવેલું હતું. જો આ બ્લાસ્ટ ચાલુ શૈક્ષણિક કલાકો દરમિયાન થયો હોત, તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેમ છે. ગોડાઉનમાં થયેલો વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ત્યાં ફરજ બજાવી રહેલા અને શ્રમ કરી રહેલા 3 નિર્દોષ લોકોના લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ મૃતાત્માઓના પરિવારોમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાદરા અને નગર હવેલીના ફાયર ફાઈટરના જવાનો તાબડતોબ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સાથે વધુ જાનહાનિ અટકાવવા માટે સઘન તપાસ અને કામગીરી હાથ ધરી છે. આ પ્રચંડ બ્લાસ્ટ અને ત્રણ-ત્રણ માનવ જિંદગીઓ હોમાઈ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોમાં આ પ્રકારના જોખમી ગોડાઉનોની મંજૂરી સામે પણ અનેક સવાલો અને રોષ જોવા મળી રહ્યો છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…
મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. લિવ રિઝર્વમાં રહેલા 13 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યુંજિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલા આ આદેશમાં મુખ્યત્વે લિવ રિઝર્વમાં રહેલા અને નવા આવેલા અધિકારીઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિગતો મુજબ, કુલ 18 અધિકારીઓમાંથી 13 પોલીસ ઇન્સ્પેક્ટરો જેઓ અત્યાર સુધી લિવ રિઝર્વમાં હતા તેમને અલગ-અલગ પોલીસ મથકોમાં નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. 5 PIની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂકઆ ઉપરાંત, જિલ્લામાં અગાઉથી કાર્યરત એવા અન્ય 5 પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ તેમની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમય બાદ એકસાથે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓને કારણે પોલીસ તંત્રમાં નવીનતા આવશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી સોંપાયેલા નવા પોલીસ મથકોમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે.
વડોદરાના આજવા રોડ પર આવેલી જાધવ અમી શ્રદ્ધા સોસાયટી, નવજીવન ખાતે જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા સાંઈબાબાની પાલખી યાત્રા, ભજન-કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ધાર્મિક કાર્યક્રમ 4 અને 5 એપ્રિલ,2026ના રોજ યોજાશે. ચૈત્ર વદ બીજ, શનિવાર, 4 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6:00 કલાકે સાંઈબાબાની પાલખી યાત્રા નીકળશે. આ યાત્રા મહેશભાઈ કહાર (મૂર્તિકાર) નાલંદા પાણીની ટાંકી પાસે, વાઘોડિયા રોડથી શરૂ થઈ જાધવ અમી શ્રદ્ધા સોસાયટી, નવજીવન, આજવા રોડ ખાતે પહોંચશે. પાલખી યાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજાશે. ભાવેશભાઈ આર્ય ગ્રુપ દ્વારા ભજન-કીર્તનનું રસપાન કરાવવામાં આવશે, જેમાં ભાવિક ભક્તોને પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ચૈત્ર વદ ત્રીજ, રવિવાર, 5 એપ્રિલ, 2026ના રોજ સાંજે 7:00 કલાકે સાંઈબાબાની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે પણ સર્વ ભાવિક ભક્તોને પ્રસાદી લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે.
પાટણ તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષે હરાજી શરૂ:પ્રથમ દિવસે ₹2326 ભાવ મળ્યો, ખેડૂતોને વાજબી દામ
પાટણ ખાતે ગુજરાતના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષની હરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે તમાકુનો ભાવ ₹2326 નોંધાયો હતો. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ વેચવા અહીં આવી રહ્યા છે, જ્યાં તેમને રોકડ નાણાં અને યોગ્ય તોલ સાથે સારા ભાવ મળી રહ્યા છે. આ સબયાર્ડ 30 વીઘા જમીનમાં ફેલાયેલું છે અને સમગ્ર ગુજરાતમાં તમાકુ માટેનું સૌથી વિશાળ યાર્ડ ગણાય છે. મોટા ખરીદદાર વેપારીઓની હાજરીને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો અહીં મોટી માત્રામાં તમાકુ લઈને પહોંચી રહ્યા છે. ગત વર્ષે પણ આ માર્કેટયાર્ડમાં ગુજરાતનો સૌથી મોટો તમાકુનો વેપાર નોંધાયો હતો, જેને કારણે આ વર્ષે અન્ય વેપારીઓ પણ ખરીદી માટે જોડાયા છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે પાકા શેડ સહિતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેડૂતોને તેમના માલના વ્યાજબી ભાવ મળે, વજનમાં પારદર્શિતા જળવાય અને વેચાણ બાદ તરત જ રોકડ નાણાં ચૂકવાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તમાકુનો પાક વધુ હોવાથી અને પાટણ ખાતે વેપારી-ખેડૂતો વચ્ચેના સારા સંબંધોને કારણે માલની આવકમાં વધારો થયો છે. APMC ચેરમેન સ્નેહલ પટેલ અને ડિરેક્ટર કે.સી. પટેલે જણાવ્યું હતું કે હાલમાં અંદાજે 45 થી 50 હજાર બોરીની આવક શરૂ થઈ છે અને ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે.
ગાંજા વાવેતર કેસ: આરોપીને પાંચ વર્ષની સખત કેદ:પાટણ SOGએ રૂ. 5.22 લાખના 35 છોડ જપ્ત કર્યા હતા
સમી તાલુકાના ઉમેદપુરા ગામમાં ગાંજાના વાવેતર કેસમાં રાધનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, આરોપીને કુલ એક લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ કરાયો છે. આ કેસ 24 જાન્યુઆરી, 2022નો છે, જ્યારે પાટણ SOGએ સમી તાલુકાના બાસ્પાથી રાધનપુર જતા હાઈવે પર આવેલી નર્મદા કેનાલની અમરાપુર બ્રાન્ચ કેનાલ પાસેના એક ખેતરમાંથી દરોડો પાડ્યો હતો. પોલીસે ચણાના પાકની વચ્ચે વાવેલા 52 કિલો 295 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાના 35 લીલા છોડ અને 4510 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત રૂ. 5,22,950 આંકવામાં આવી હતી. આ કેસમાં ઉમેદપુરા (જાખેલ) ગામના કનુભાઈ ચુંડાભાઈ ઠાકોરને આરોપી બનાવવામાં આવ્યા હતા. રાધનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ (સેશન્સ કોર્ટ)ના જજ આર.આર. ચૌધરીએ તેમને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985ની કલમ 20(એ)(આઈ) અને 20(બી)(2)બી હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદ અને પ્રત્યેક ગુના માટે રૂ. 50,000નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ છ માસની સાદી કેદની સજા પણ ફરમાવી હતી. સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કર અને જિતેન્દ્ર જે. બારોટે દલીલ કરી હતી કે આવા ગંભીર ગુનાઓની સમાજ પર વિપરીત અસર પડે છે. જજે નોંધ્યું હતું કે માદક પદાર્થોનું સેવન ઝડપથી વધી રહ્યું છે અને તે દેશના યુવાધનને ખતમ કરી રહ્યું છે, જે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને આરોપીને સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં ગાંજાનું બિયારણ પૂરું પાડવાનો આરોપ ધરાવતા અન્ય આરોપી હસુભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલો ગાંજાનો જથ્થો ખેતરમાં ચણાના વાવેતર વચ્ચેથી મળી આવ્યો હતો, અને સૂકો ગાંજો મિણિયામાંથી પણ મળી આવ્યો હતો.
આણંદ સ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET) સંચાલિત સી.પી. પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજ (ઓટોનોમસ) ખાતે BCA, BBA-ITM, PGDCA અને M.Sc. (ડેટા સાયન્સ) વિભાગના વિદ્યાર્થીઓ માટે વાર્ષિકોત્સવ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સાયન્સ ડીન ડો. દર્શન બી. ચોક્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આઈટી સેક્ટરમાં રહેલી ઉજ્જવળ તકો અને ભવિષ્યના વિષયો અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે SPET ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બી.એન. પટેલ, અનવેષભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. તેજલ તન્ના અને વિભાગીય વડા ડો. નયન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. મિતેશ પટેલના નેતૃત્વમાં તૈયાર થયેલો વાર્ષિક અહેવાલ વીડિયો સ્વરૂપે રજૂ કરાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ નિષ્કા જયસ્વાલ, રાશિ ભાનુશાલી અને પ્રિતેશ પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું. વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રો. શનિ પટેલે મિત્રતાનું ગીત રજૂ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભાવુક બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્રો. નિધિ રાણા અને ડો. લતા વેદના સંચાલન હેઠળ તેમજ કોલેજના સમગ્ર સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ધારપુર સિવિલમાં વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી:બાળકોને રમતો, નાસ્તો, કીટ વિતરણ; વાલીઓને માર્ગદર્શન અપાયું
પાટણની ધારપુર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડિસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર (DEIC) દ્વારા 2 એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓટિઝમથી પીડિત બાળકો માટે વિવિધ રમતો, પોષણયુક્ત નાસ્તો અને કીટનું વિતરણ કરાયું હતું, સાથે જ વાલીઓને માર્ગદર્શન પણ અપાયું હતું. NHM અંતર્ગત કાર્યરત DEIC વિભાગમાં 0 થી 18 વર્ષના બાળકોની સારવાર કરવામાં આવે છે. આ ઉજવણીમાં આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ, તબીબો, ઓટિઝમ પીડિત બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. RCHO, THO પાટણ, એડિશનલ MS, RMO, પીડિયાટ્રિક વિભાગના ડોકટરો તેમજ RBSK ટીમના નોડલ અધિકારીઓ અને સભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, એડિશનલ MS અને RCHO દ્વારા વાલીઓને ઓટિઝમના લક્ષણો, વહેલી ઓળખ અને યોગ્ય થેરાપી દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં ઓટિઝમ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને ઓટિઝમ ધરાવતા બાળકોને સમાનતા તથા સમાવેશપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો હતો. વાલીઓને બાળકોની કાળજી રાખવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી. બાળકો માટે આનંદદાયક, શૈક્ષણિક અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ તેમજ રમતોનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગી થયેલા બાળકોને પોષણયુક્ત નાસ્તો અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી પ્રોત્સાહન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર દામિની પટેલ, ડેન્ટલ મેડિકલ ઓફિસર પ્રિયંશી ભોજક, મેનેજર મિહિર પટેલ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પંચાલ જલ્પા, DEIC વિભાગના સ્ટાફ અને પીડિયાટ્રીશિયન ડોકટરોએ જહેમત ઉઠાવી હતી. તબીબી અધિક્ષક પારુલ શર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
જામનગર સિટી-એ PI એ ચાર્જ સંભાળ્યો:સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું
જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા પી.આઇ. વી.એમ. ડોડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ સક્રિય કામગીરી શરૂ કરી છે. તેમણે પોલીસ સ્ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પી.આઇ. ડોડીયાએ સૌ પ્રથમ પાંચ હાટડી, પટણીવાડ અને વાઘેરવાડા જેવા સંવેદનશીલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે પોલીસ સ્ટાફ સાથે આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા. પી.આઇ. ડોડીયાએ પોલીસ સ્ટાફને સાવચેતીપૂર્વક કામગીરી કરવા અને કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. આ કામગીરીથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સક્રિય હાજરી નોંધાઈ છે, જે કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની 'સેન્સ' લેવાની પ્રક્રિયા બે દિવસ સુધી ચાલી હતી, આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી આ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની ઉત્સુકતા દર્શાવી છે, ચૂંટણી લડવા માંગતા ઉત્સાહી કાર્યકરોઓમાંભાવનગર તાલુકા પંચાયતની 210 બેઠકો માટે કુલ 913 કાર્યકરોએ દાવેદારી કરી છે, જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે કુલ 381 કાર્યકરો મેદાનમાં છે, જયારે 3 નગરપાલિકાઓની 96 બેઠકો માટે 377 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે, મળી કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી હતી, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેમ ઉમેર્યું છે, બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશ મકવાણા, નિપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળ્યા હતા, આ ચૂંટણીઓ માટે જિલ્લા ભાજપમાં બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા હતા, ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 381 ઉમેદવારો તથા 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે 913 ઉમેદવારો અને 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 ઉમેદવારો નોંધાયા હતા, આમ બે દિવસ દરમિયાન કુલ 1294 જેટલા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો, સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થયા બાદ, હવે સ્થાનિક કક્ષાએ નામોની પેનલ બનાવીને પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે, ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા ટિકિટ માટેનો આખરી નિર્ણય લેવામાં આવશે, કયા કાર્યકરનું નસીબ ખુલે છે અને કોને ટિકિટ મળે છે, તેના પર હવે સૌની મીટ મંડાયેલી રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ભાજપ, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરી પ્રદેશ કક્ષાએ યાદી મોકલી દેવામાં આવી હતી. કોંગ્રેસ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, જ્યારે ભાજપ 9 એપ્રિલે પ્રથમ યાદી જાહેર કરે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસે 20 જેટલા ઉમેદવારો ફાઈનલ કર્યાઆધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર કોંગ્રેસમાં ચૂંટણી માટે 20 જેટલા ઉમેદવારોના નામને અંતિમ મ્હોર આપી દેવામાં આવી છે અને તેમના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ પણ કરી દેવામાં આવી છે. આ યાદી જોતા કોંગ્રેસ અનુભવી અને જૂના જોગીઓને મેદાને ઉતારવા નિર્ણય કર્યો છે. કોંગ્રેસના આ ઉમેદવારોને ફોનથી જાણ કરાઈ
ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CSPIT) ના વિદ્યાર્થીઓએ GUJCOST દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ROBOFEST 5.0 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. Application-Based Robotics કેટેગરીમાં CSPITની ટીમોએ પ્રથમ અને તૃતીય સ્થાન મેળવી કુલ ₹15 લાખના પુરસ્કારો જીત્યા છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓની એક ટીમે Pinaka નામનો સ્માર્ટ એગ્રીકલ્ચર રોબોટ વિકસાવ્યો હતો. આ પ્રોજેક્ટને ₹10 લાખના પુરસ્કાર સાથે પ્રથમ સ્થાન મળ્યું છે. Pinaka રોબોટ વાવેતર, સ્પ્રેઇંગ અને માટીનો ભેજ માપવા જેવી સુવિધાઓ પૂરી પાડી કૃષિ ક્ષેત્રમાં આધુનિકતા લાવવાનો પ્રયાસ કરે છે. આ ટીમના સભ્યોમાં પ્રેમ જોગાણી, દેવ ભાલોડિયા, ખુશી સોનાગરા અને હીત શાહનો સમાવેશ થાય છે. ફેકલ્ટી માર્ગદર્શક તરીકે ડૉ. બ્રિજેશ કુંડાલિયાએ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. Pinaka એક કોમ્પેક્ટ એગ્રોરોબોટ છે, જે પૂર્વનિર્ધારિત માર્ગ પર ચોકસાઈ સાથે વિવિધ કૃષિલક્ષી કામગીરી કરે છે. તેમાં વાવેતર મિકેનિઝમ, સ્પ્રેઇંગ સિસ્ટમ, સોલાર સહાયતા, માટીની ભેજ માપવાની વ્યવસ્થા, ટિલ્ટ ડિટેક્શન અને બ્લેક લાઇન નેવિગેશન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માનવશ્રમ ઘટાડી સ્માર્ટ કૃષિને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓની બીજી ટીમે Sarva Netra નામનો સ્માર્ટ સર્વેલન્સ રોબોટ રજૂ કર્યો હતો. આ ટીમને ₹5 લાખના પુરસ્કાર સાથે તૃતીય સ્થાન મળ્યું છે. આ ટીમના સભ્યોમાં યાશ્વી તન્ના, તિશા મણિયાર, ખુશી ઉધાડ અને કૈવલ શાહનો સમાવેશ થાય છે. ફેકલ્ટી માર્ગદર્શક તરીકે ડૉ. જીગર સારડાએ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. Sarva Netra એક આધુનિક સ્વચાલિત સર્વેલન્સ સિસ્ટમ છે. તેમાં GPS આધારિત પેટ્રોલિંગ, લાઇવ વિડિયો મોનીટરીંગ, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને ગેસ સેન્સર આધારિત એલર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રોબોટ અવરોધ ટાળવાની ક્ષમતા ધરાવે છે અને 3D એન્વાયર્નમેન્ટ પરસેપ્શન માટે ડેપ્થ કેમેરાનો ઉપયોગ કરે છે, જે સુરક્ષા ક્ષેત્રે વિશ્વસનીય ઉકેલ પૂરો પાડે છે. આ સિદ્ધિ બદલ FTEના ડીન ડૉ. વિજય ચૌધરી અને CSPITના પ્રિન્સિપાલ ડૉ. તૃષિત ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતા CSPIT અને ચારુસેટના વિદ્યાર્થીઓની ઇનોવેશન, ટેક્નિકલ કૌશલ્ય અને સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે બીજા દિવસે 3 એપ્રિલના રોજ પણ 1000થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં લઘુમતી મતવિસ્તાર ગણાતા એવા જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં દાવેદારો ઓછા આવ્યા હતા. કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જે બેઠકો પર વિવાદ કે મડાગાંઠ છે તેવી બેઠકો પર પેનલ તૈયાર થઇ શકી નથી. આવી વિવાદાસ્પદ બેઠકો માટે આજે (4 એપ્રિલ) પ્રદેશ કક્ષાએ નિરીક્ષકોની હાજરીમાં બેઠકોનો દોર હાથ ધરાશે. આ બેઠકોમાં જે બેઠક પર એક સરખા સમીકરણો ધરાવતા મજબૂત દાવેદારો વચ્ચે સ્પર્ધા છે, તેવી બેઠકો પર નિર્ણય લેવાશે. શનિવારે હાથ ધરાનારી બેઠકોમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાની કામગીરી હાથ ધરવામાં આવશે અને 5 એપ્રિલે ઉમેદવારો જાહેર કરાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષ પલ્ટુની પણ મોસમ શરૂ થઇ ચુકી છે. આ શરૂઆત આ વખતે કોંગ્રેસ નહિ, પરંતુ ભાજપમાંથી થવા પામી છે. ગઈકાલે (3 એપ્રિલ) રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 6માં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, તેમના પતિ મનસુખ જાદવ સહિત કાર્યકર્તાઓને કોંગ્રેસના આગેવાનોએ ખેસ પહેરાવી વિધિવત કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે પોતાના બે મહિલા કોર્પોરેટરોને 2024માં સસ્પેન્ડ કર્યા હતાં, જેમાં એક નામ દેવુબેન જાદવ અને બીજું નામ વજીબેન ગોલતર હતું. કોર્પોરેટરના પતિઓના આવાસ કૌભાંડમાં નામ ખુલ્યાં હતાંવોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ અને વોર્ડ નંબર 5ના મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરે પોતાના અન્ય જગ્યાએ ઘરનું ઘર હોવા છતાં સાગરનગર અને મચ્છાનગર સ્લમ વિસ્તારમાં આવાસ મેળવવા પાત્ર લાભાર્થીઓની યાદીમાં નામ લખાવ્યું હતું. 2024માં મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા ડ્રોમાં બન્નેના નામ આવતાં વિવાદ સર્જાયો હતો. આ સમયે દેવુબેન જાદવ કાયદો-નિયમન સમિતિના ચેરમેન હતા. આ ઉપરાંત કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ દ્વારા પૈસાની માંગણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરતાં વજીબેન ગોલતર અને દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લઈ અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાલિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
પાટણમાં પત્નીએ પતિને બચત કરી મકાન બનાવવાની સલાહ આપતા પતિ અને સાસરિયાઓએ તેને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ પીડિતાએ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે પતિ સહિત સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠાના ઓગડ તાલુકાના ટોટાણા ગામના વતની અને હાલ પાટણના માખણીયાપરામાં મજૂરી કરતા સુનિતાબેન દેવજીભાઈ પટણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના સમયે તેમણે પતિ દેવજીભાઈ રાયાભાઈ પટણીને દેવું ન કરવા અને બાળકોના ભવિષ્ય માટે પૈસા બચાવી મકાન બનાવવાની વાત કરી હતી. આ સાંભળી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. સુનિતાબેને ગાળો બોલવાની ના પાડતા પતિએ તેમને નીચે પાડી ગળું દબાવ્યું હતું અને હાથમાં રહેલા દાતરડાના ઊંધા ભાગે બરડામાં માર માર્યો હતો. આ દરમિયાન સાસુ કાંતાબેન પટણી અને સસરા રાયાભાઈ પટણીએ પણ છોડાવવાને બદલે સુનિતાબેનને પકડી રાખ્યા હતા. પતિએ તેમને ગડદાપાટુનો માર માર્યો, બંને હાથે બચકાં ભર્યા અને વાળ પકડીને ઘસેડી હતી. સસરા રાયાભાઈએ લાકડાની કાતર ફેંકી હતી, જોકે સુનિતાબેન ખસી જતા તેમને વાગી નહોતું. આ ઘટના બાદ સાસરિયાઓએ સુનિતાબેનને ઘરમાં પૂરી રાખી ક્યાંય જવા દીધા નહોતા. બીજા દિવસે સવારે પતિ દેવજીભાઈ તેમને મોતીસા ચોકમાં ઉતારીને જતો રહ્યો હતો. ત્યાંથી સુનિતાબેન ચાલીને તેમના પિતાના ઘરે પહોંચ્યા હતા અને માતા-પિતાને આપવીતી જણાવતા તેમને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ સુનિતાબેને પતિ દેવજીભાઈ રાયાભાઈ પટણી, સાસુ કાંતાબેન અને સસરા રાયાભાઈ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 115(2), 296(b), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને પાટણ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટેના ઉમેદવારોના નામોનો સમાવેશ થાય છે. પક્ષ દ્વારા પાટણ જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. પાટણ જિલ્લા પંચાયતની બાલીસાણા બેઠક પરથી રાણાજી સોમાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી હિતેશભાઈ પટેલ અને વોર્ડ નંબર 10 માંથી મનુભાઈ ઠક્કરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની બેઠકો પર નજર કરીએ તો, પાટણ તાલુકા પંચાયતની મણુંદ બેઠક પરથી દિનુજી લક્ષ્મણજી વાઘેલા, સંડેર બેઠક પરથી જ્યોત્સનાબેન ઠાકોર, સંખારી બેઠક પરથી તબ્બસુમ હારૂનભાઈ મનસુરી અને બાલીસાણા-1 બેઠક પરથી વિપુલભાઈ પંચાલને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. આ ઉપરાંત, સરસ્વતી તાલુકા પંચાયત હેઠળની વામૈયા બેઠક પરથી સેધૂભા એસ દરબાર, અઘાર બેઠક પરથી દિલીપસિંહ બનેસિંહ વાઘેલા અને અજીમણા બેઠક પરથી કિંજલબેન મંગળભાઈ પ્રજાપતિના નામોની સત્તાવાર જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં પાટણ નગરપાલિકા, પાટણ તાલુકા પંચાયત અને સરસ્વતી તાલુકા પંચાયત સહિત પાટણ વિધાનસભા અંતર્ગત આવતી જિલ્લા પંચાયતની બાકી રહેલી બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે. આ નામોની જાહેરાત સાથે જ પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે.
વલસાડમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા:₹13.50 લાખના કેસમાં 9 માસની કેદ, વળતર ચૂકવવા આદેશ
વલસાડ તાલુકાના મગોદ ગામમાં મિત્રતા આધારિત નાણાકીય વ્યવહારમાં ચેક બાઉન્સ થતાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વલસાડની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટે આરોપીને 9 માસની કેદ અને ₹13.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મગોદ ગામના રહેવાસી ધર્મેશભાઈ વિનોદભાઈ પટેલે તેમના મિત્ર મિરાજ જગદીશભાઈ પરમારને વિશ્વાસના આધારે કુલ ₹13.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત કરવા માટે મિરાજે ચેક આપ્યા હતા. ધર્મેશભાઈએ આ ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયા હતા, જેના કારણે નાણાકીય વિવાદ વધુ ઘેરો બન્યો હતો. નાણા પરત ન મળતા, ધર્મેશભાઈએ તેમના વકીલ જે.એમ. પુરોહિત મારફતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ વલસાડ JMFC કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદી પક્ષે મજબૂત દસ્તાવેજી પુરાવા અને દલીલો રજૂ કરી હતી. આરોપી મિરાજ પરમાર તરફથી વકીલ ડી.એમ. આચાર્યએ પક્ષ રજૂ કર્યો હતો. એડિશનલ સિવિલ જજ પ્રીતિ સાગરની કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈ આરોપી મિરાજ પરમારને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને 9 માસની સજા ફટકારી અને ફરિયાદીને ₹13.50 લાખ વળતર રૂપે ચૂકવવાનો આદેશ કર્યો. કોર્ટે ટિપ્પણી કરી કે આવા કેસોમાં દસ્તાવેજી પુરાવા અને વ્યવહારની પારદર્શિતા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ફરિયાદી પક્ષ પોતાની રકમ સાબિત કરવામાં સફળ રહ્યો, જે ચુકાદામાં નિર્ણાયક સાબિત થયું.
મહીસાગરમાં 5 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
મહીસાગર LCBએ કોઠંબા, લુણાવાડા અને બાલાસિનોર વિસ્તારમાં થયેલી પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના બાદ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પીઆઈ એમ.કે. ખાંટે વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. આ માટે ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન, LCB સ્ટાફના ASI વિશ્વજીતસિંહ અને કોન્સ્ટેબલ ભરતભાઈને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, બાલાસિનોર GIDC વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો શંકાસ્પદ હાલતમાં ચોરીના દાગીના વેચવાની ફિરાકમાં ફરી રહ્યા હતા. પીઆઈની સૂચનાથી LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંને શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા. આરોપીઓની બેગની તપાસ કરતા તેમાંથી જુદા-જુદા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. દાગીના અંગે સઘન પૂછપરછ કરતા, બંને આરોપીઓએ આ દાગીના મહીસાગર જિલ્લામાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ કબૂલ્યું કે તેમણે લુણાવાડા નજીક ઘંટાવ ગામે એક વર્ષ પહેલા એક બંધ મકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. આ ઉપરાંત, ચાર મહિના પહેલા થાણા સાવલી ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી હતી. બાલાસિનોર ટાઉન ખાતે મુસ્લિમ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, ઇન્દિરાનગર વિસ્તારમાં બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોહિતવાસમાં બંધ મકાનમાંથી પણ ચોરી કરી હતી. આરોપીઓ બંધ મકાનોના દરવાજાના નકુચા કાપીને પ્રવેશ કરતા અને તિજોરીઓના લોક તોડી ચોરીને અંજામ આપતા હતા. LCBએ આરોપીઓ પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓના નામ છે: (1) જશપાલસિંહ ઇશ્વરસિંહ રાઠોડ (સીકલીગર), રહે. એસ.ટી. નગર, બાલાસિનોર, તા. બાલાસિનોર, જિ. મહીસાગર અને (2) બલરાજસિંહ ઉર્ફે મલીન્દર ઉર્ફે ડોન મોહનસિંગ શીખ, હાલ રહે. હલધરવાસ, તા. મહેમદાવાદ, જિ. ખેડા, મૂળ રહે. શીખવાડા, ગુરુ નાનક નગર, મહેમદાવાદ, જિ. ખેડા.
ગઢડામાં બે કોમ વચ્ચે ફરી બબાલ, એક ગંભીર:SP સહિત પોલીસકાફલો ઘટનાસ્થળે, બોટાદ હોસ્પિટલ ખસેડાયા
ગઢડાના વિંછીયા પરા વિસ્તારમાં ફરી બે કોમ વચ્ચે બબાલ થઈ છે. રાત્રિના સમયે થયેલી આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્ય બેને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રફિકભાઈ હાજીભાઈ સૈયદને પ્રાથમિક સારવાર માટે ગઢડા હોસ્પિટલ ખસેડાયા હતા. વધુ સારવાર અર્થે તેમને બોટાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ SP ધર્મેન્દ્ર શર્મા, DYSP, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર વિંછીયા પરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે અને કેટલાક શંકાસ્પદ લોકોને અટકાયતમાં લીધા છે. શહેરમાં પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ બબાલની શરૂઆત ગઈકાલે બપોરના સમયે પશુને માર મારવાના મુદ્દે થઈ હતી. આ મામલે મોટી સંખ્યામાં લોકો ગઢડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ રાત્રિના સમયે ફરી તણાવ વધતા આ બબાલ સર્જાઈ હતી. બોટાદના DYSP મહર્ષિ રાવલે આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં મયુરધ્વજસિંહ પરમાર દ્વારા તેમના પિતા સ્વ. ઘનશ્યામસિંહ ભુરુભા પરમારની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઔદીચ્ય બ્રહ્મસમાજ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. આ જ્ઞાતિ ભોજન માટે સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ અને રતનપર સહિતના વિસ્તારોમાં રહેતા બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ બ્રહ્મભોજનમાં 3500થી વધુ ભૂદેવ પરિવારોએ પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા મયુરધ્વજસિંહ અને તેમના પરિવારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
રતનપરમાં મેલડી માતાજીને સમૂહ તાવો:10 હજારથી વધુ ભક્તો પ્રસાદ લેશે, વાર્ષિક આયોજન
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર-1 મેલડી માતાજીના મંદિર ખાતે ૧૧મા સમૂહ તાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 5 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. મહાઆરતી સાંજે 4:30 વાગ્યે અને ત્યારબાદ સાંજે 5:00 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થશે. આ વાર્ષિક આયોજનમાં રતનપર વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટી પડે છે. આયોજકો દ્વારા શહેરીજનોને માતાજીના પ્રસાદનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. દર વર્ષે 10 હજારથી વધુ લોકો આ સમૂહ તાવાના પ્રસાદનો લાભ લે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેલડી ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગરની જનતાને માતાજીના દર્શન અને મહાપ્રસાદ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે મેલડી ગ્રુપના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
વડોદરાના વાડી હનુમાન પોળ ખાતે હનુમાન પ્રાગટ્યોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. વાડી હનુમાન પોળનું મંદિર લગભગ 350 વર્ષ જૂનું છે. ઇતિહાસ અનુસાર, આ વિસ્તાર પહેલાં શૂરા શાળવીની પોળ તરીકે ઓળખાતો હતો. તે સમયે શાળવી કોમના લોકો અહીં વસવાટ કરતા હતા, જેઓ વણાટ, કળા અને છાપકામ જેવી કારીગરીમાં નિષ્ણાત હતા. તે સમયે વડોદરામાં વણઝારાની એક પોઠ આવી હતી. પોઠના મોભીએ જણાવ્યું કે તેમને રસ્તામાંથી હનુમાનદાદાની મૂર્તિ મળી હતી, જેને તેઓ બળદગાડામાં સ્થાપિત કરીને નિર્ધારિત સ્થળે લઈ જવાના હતા. બીજા દિવસે વણઝારાની પોઠ આગળ જવા નીકળી, પરંતુ હનુમાનદાદાની મૂર્તિ ધરાવતું ગાડું ઘણા પ્રયત્નો છતાં ખસ્યું નહીં. વધુ બળદો જોડવા છતાં પણ ગાડું આગળ વધ્યું નહીં. આ ઘટનાને કારણે અહીં જ હનુમાનદાદાનું મંદિર બાંધવામાં આવ્યું. આથી હનુમાનદાદા ‘હઠીલા હનુમાનજી’ તરીકે ઓળખાવા લાગ્યા અને શૂરા શાળવીની પોળનું નામ બદલાઈને હનુમાન પોળ થયું. વડોદરાના પ્રાચીન ગરબામાં પણ આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે: “હાથિયાખાણાના દરવાજે કંઈ હઠીલા હનુમાનજી રે…” મંદિર નજીક તે સમયે બનાવવામાં આવેલો કૂવો આજે પણ અસ્તિત્વમાં છે.
'આપણે યુદ્ધમાં છીએ..', ઈરાને અમેરિકન ફાઈટર જેટ તોડી પાડયા બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન
US Iran War: મધ્ય પૂર્વમાં અમેરિકન લડાયક વિમાનો ઈરાન દ્વારા તોડી પાડવા આવ્યા છે, ત્યારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ ઘટનાઓની ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર પડશે નહીં. NBC ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, 'આ ઘટનાઓની રાજદ્વારી સંબંધો અને વાતચીત પર કોઈ અસર નહીં પડે, બિલકુલ નહીં. આ યુદ્ધ છે. આપણે યુદ્ધમાં છીએ.' તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો બંને સાથે-સાથે ચાલી રહ્યા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી જ્ઞાન, વિચારવાની ક્ષમતાને નુકસાન : રિસર્ચનું તારણ
- એમઆઈટીના સંશોધકોએ એઆઈ યુઝર્સને ચેતવણી આપી - એઆઈ ચેટબોટ દરેક વાતમાં સહમતી દર્શાવતા હોવાથી તેના વધુ વપરાશ કરતાં યુઝર્સ ચોક્કસ પેટર્નમાં ભ્રમિત થયાનું જણાયું Report on AI : અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ એઆઈ ચેટબોટનો વધારે ઉપયોગ કરતાં યુઝર્સને ચેતવણી આપી હતી કે તેનાથી સમજવા-વિચારવાની ક્ષમતાને ગંભીર અસર થાય છે. એઆઈ એક પેટર્ન પ્રમાણે જવાબ આપે છે એટલે તેનાથી સાવધાન રહેવું જરૂરી છે. એઆઈ ચેટબોટ્સનો ચાપલુસીભર્યું વર્તન યુઝર્સને ગેરમાર્ગે દોરે છે. એઆઈનો વધારે ઉપયોગ આપણાં જ્ઞાન ઉપર પણ અસર કરે છે.
અમદાવાદમાં આજે બીજી મેચ GT vs RR:વૈભવ સામે રબાડા-સિરાજનો પડકાર; ગુજરાતે રાજસ્થાન સામે 6 મેચ જીતી
IPLમાં શનિવારની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ સીઝનનો આ નવમો મુકાબલો હશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે અને ટૉસ 7 વાગ્યે થશે. રાજસ્થાને પોતાની પ્રથમ મેચ ચેન્નઈ સામે જીતી હતી, જ્યારે ગુજરાતને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ 8 વખત સામસામે આવી છે, જેમાં GTએ 6 અને RRએ 2 મેચ જીતી છે. ગત સીઝનમાં બંને ટીમ વચ્ચે રમાયેલી બે મેચમાં બંનેએ એક-એક મેચ જીતી હતી. વૈભવ પર રહેશે નજર આ મેચમાં રાજસ્થાન રોયલ્સને મજબૂત માનવામાં આવી રહી છે. તેનું સૌથી મોટું કારણ 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું શાનદાર ફોર્મ છે. વૈભવે IPL 2026ની પોતાની પ્રથમ મેચમાં ચેન્નઈ સામે માત્ર 15 બોલમાં 50 રન ફટકારી દીધા હતા. તેણે 17 બોલમાં 52 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. જોકે, આ વખતે તેનો સામનો કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા ઇન્ટરનેશનલ પેસ એટેક સામે થશે, જે તેના માટે મોટો ટેસ્ટ સાબિત થઈ શકે છે. ગુજરાત પાસે પેસ બોલિંગ એટેક ગુજરાત ટાઇટન્સ પાસે કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની ત્રિપુટી છે. કેપ્ટન શુભમન ગિલે ગત મેચમાં 39 રન બનાવ્યા હતા. જોકે, ટીમની બેટિંગ ચિંતાનો વિષય રહી છે. ગિલ, જોસ બટલર અને સાઈ સુદર્શન ઝડપથી રન બનાવી શકતા નથી. મિડલ ઓર્ડર પણ બહુ ભરોસાપાત્ર દેખાયો નથી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ રિપોર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેલેન્સ્ડ માનવામાં આવે છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ અને બાઉન્સ મળે છે, પરંતુ બાદમાં બેટિંગ સરળ થઈ જાય છે. સાંજની મેચમાં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવે છે, જેનાથી બીજી ઇનિંગમાં બેટિંગ સરળ બને છે. આવામાં ટૉસ જીતીને ટીમ ચેઝ કરવાનું પસંદ કરે છે. આ મેદાન પર અત્યાર સુધી 44 IPL મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે 22 અને ચેઝ કરનાર ટીમે પણ 22 મેચ જીતી છે. હાલની મેચોમાં અહીં એવરેજ સ્કોર 200+ રહ્યો છે અને સ્પિનર્સ કરતા પેસર્સને વધુ સફળતા મળી છે. વેધર રિપોર્ટ અમદાવાદમાં મેચના દિવસે હવામાન ઘણું ગરમ રહેવાનું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજના સમયે પણ તાપમાન ૩૫C ની આસપાસ રહી શકે છે. વરસાદની કોઈ શક્યતા નથી. બન્ને સંભવિત પ્લેઇંગ-12 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અશોક શર્મા. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, જોફ્રા આર્ચરે, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા અને દાસુન શનાકા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલેમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના કતારગામ-વેડ વોર્ડ નં. 7 (કતારગામ ગામ, વેડ રોડ, નંદુ ડોશીની વાડી, ધનામોરાની વાડી)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વોર્ડ 7ના વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા અડધા ખુલેલા છે અથવા તૂટેલી હાલતમાં છે. સ્ટ્રીટ લાઈટના પોલ પર વીજળીના બોર્ડ ખુલ્લા લટકી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રને અનેક રજૂઆતો છતાં આ બાબતે કોઈ નક્કર કામગીરી થઈ નથી. ગાર્ડનમાં રાત્રિના સમયે પૂરતી લાઈટો ન હોવાનો ફાયદો ઉઠાવી અસામાજિક તત્વો દારૂની મહેફિલો માણે છે. સ્થળ પરથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસો પણ જોવા મળ્યા હતાં. સ્થાનિકોએ રોષ ઠાલવતાં કહ્યું, કોઈ કોર્પોરેટર આવતા જ નથી. સુરત મનપામાં ત્રિપાંખિયો જંગ ખેલાવાના એંધાણહીરા નગરી સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગવા માંડ્યા છે. ખાસ કરીને કતારગામ વિસ્તાર, જે સુરતના રાજકારણનું એપીસેન્ટર ગણાય છે, ત્યાં અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં તમામ 120 બેઠકો પર કબજો જમાવવા ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાના એંધાણ છે. પરંતુ, આ રાજકીય ખેંચતાણ વચ્ચે કતારગામ વોર્ડ 7ની જનતા અનેક પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. 'ગટરના ઢાંકણા બધા જ ખુલ્લા છે'સ્થાનિક ગીતાબેને જણાવ્યું હતું કે, કમ્પ્લેન કરી હોય તોય કોઈ આવતું નથી અને પ્લસ પાણી તો એકઠામકું આવતું જ નથી, એક ગ્લાસ પાણી જોતું હોય ને તો મોટર ચાલુ કર્યા વગર પાણી આવતું નથી. નીચે ભૂગર્ભ ટાંકામાં એક ગ્લાસ પાણી મોટર ચાલુ કર્યા વગર આવતું નથી. પ્રેશર વગરનું પાણી આવે છે. 'અવારનવાર સોસાયટીના સભ્યો ભટકાતા હોય છે'સ્થાનિક હિરેન વાઘાણીએ જણાવ્યું હતું કે, એક સમસ્યા એ છે કે, કેટલા ટાઈમથી અમે અહીંયા સ્પીડ બ્રેકરની માંગ કરી છે. અવારનવાર સોસાયટીના સભ્યો ભટકાતા હોય છે, એની જાણ કરેલી છે, છતાં પણ અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવતો નથી. એક ફરિયાદ બીજી કરેલી છે, સામે શાકભાજીવાળાની લાઈનો થાય છે, સવારમાં 7:00 વાગ્યામાં ન્યુસન્સ ફેલાવે છે, એની પણ અરજી કરેલી છે, એનો પણ કોઈ નિકાલ થતો નથી. 'ગાર્ડનમાં રોજ અવારનવાર ન્યુસન્સ થાય છે'હિરેન વાઘાણીએ કહ્યું કે, અહીંયા ગાડીઓનું પાર્કિંગ થઈ રહ્યું છે, એની પાછળ અહીંયા મજૂરો જે રાત્રે સૂવા આવે છે, તે લોકો અહીંયા બગાડ કરે છે, સંડાસ-જાજરૂ બધું અહીંયા જ કરે છે. એની પણ ફરિયાદ કરેલી છે, એનું પણ નિકાલ નથી થતો. 'આ મેઈન રસ્તો લક્ઝરી માટે કે પ્રાઇવેટ બસ માટેનો નથી'સ્થાનિક રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આ રસ્તો છે ને એક શેરી પૂરતો છે, મર્યાદિત રસ્તો છે. પણ એમાંથી રાત્રે 9થી 9:30ની આસપાસ દોઢથી બે કલાક સુધી સૌરાષ્ટ્ર ટ્રાવેલિંગની બસો ચાલે છે. જે ક્યારેક ગમે ત્યારે અકસ્માત થવાની પૂરી સંભાવના છે. કારણ કે આ મેઈન રસ્તો લક્ઝરી માટે કે પ્રાઇવેટ બસ માટેનો નથી. ‘લોકો શોર્ટકટ મારવા માટે અહીંયાથી લક્ઝરી બસ કાઢે છે’સ્થાનિક રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે, કોઈ જાહેર જનતા માટેનો રસ્તો નથી, આ એકદમ સેપરેટ અને શેરી ટાઈપનો રસ્તો છે. પણ આ લોકો શોર્ટકટ મારવા માટે અહીંયાથી લક્ઝરી બસ કાઢે છે. એટલે રિક્વેસ્ટ છે કે ભાઈ અહીંયાથી આ મોટી બસો અને બીજું સ્પીડ બ્રેકર એક પણ નથી, એટલે ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના વધારે છે. 'એમના ઘરો પચાવી પાડવાની એક ષડયંત્ર ચાલી રહ્યું છે'વેડ વોર્ડ નંબર 7ના આપની ટિકિટના દાવેદાર ડૉ. પ્રીતિ સદાદિયાએ જણાવ્યું હતું કે, અહીંયા કતારગામ, વેડ વોર્ડ નંબર 7 વિસ્તારની અંદર સૌથી મોટો પ્રશ્ન છે ટીપી રિઝર્વેશનનો. ટીપી 49, 50 અને 51ની અંદર જે રિઝર્વેશનનો સૌથી મોટો પ્રશ્ન છે. એની અંદર એવું છે કે સોસાયટીના લોકોને કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વગર એમને ઘર ખાલી કરવાની નોટિસો આપ્યા વગર જ એમની ઉપર ખાલી કરવા માટેના દબાણો કરવામાં આવે છે. ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યાભાજપ 'પેજ સમિતિ' અને 'કાર્યકર્તા સંમેલન'ના માધ્યમથી ભાજપ આ વખતે ક્લીન સ્વીપ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન સાથે પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. 'AAP'એ શેરીએ-શેરીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યુંઆમ આદમી પાર્ટી ગત વખતના પ્રદર્શનને જાળવી રાખવા અને બેઠકો વધારવા માટે 'AAP'એ શેરીએ-શેરીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. લોકોની સ્થાનિક સમસ્યાઓને વાંચા આપી સત્તાધારી પક્ષને ઘેરવાની રણનીતિ અપનાવવામાં આવી છે. કોંગ્રેસ આ વખતે પુનઃપ્રાપ્તિના મૂડમાંકોંગ્રેસ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાયેલી કોંગ્રેસ આ વખતે પુનઃપ્રાપ્તિના મૂડમાં છે. દાવેદારોની સાંભળવાની પ્રક્રિયા અને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પણ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે નડિયાદના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વિસ્તારમાં સ્થાનિકો ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકામાં ભળ્યા બાદ ગામનો વિકાસ રુંધાયો હોવાનું જણાવ્યું હતું. વોર્ડની કુલ વસતી આશરે 20,697 જેટલી આ વોર્ડમાં કમળા, યોગીનગર, ડભાણ અને મંજીપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જેની કુલ વસતી આશરે 20,697 જેટલી છે. આગામી ચૂંટણીમાં અહીં બેઠકોનું સમીકરણ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને બે સામાન્ય બેઠકો મુજબ ગોઠવવામાં આવ્યું છે, જેના પર રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગટરના પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષદિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે આ વોર્ડમાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં ગટર અને ખરાબ રસ્તાની સમસ્યાઓ જટિલ બની છે. ખાસ કરીને યોગીનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘પંચાયતના શાસનમાં ગટર લાઈનની સફાઈ થતી હતી’યોગીનગરના રહીશ બિપિન પ્રજાપતિએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે અહીં ગ્રામ પંચાયતનું શાસન હતું ત્યારે વર્ષમાં બે વાર ગટર લાઈનની સફાઈ થતી હતી, પરંતુ મહાનગરપાલિકામાં ભળ્યા બાદ ગટરની સમસ્યા વકરી છે. ચોમાસામાં તો સમસ્યા ગંભીર બની જાય છે. જ્યારથી મહાનગર પાલિકા બની છે ત્યારથી વિકાસના કોઈ કામો થયા નથી. અમારી મેન સમસ્યા ગટરની છે. ગટરના પાણી જાહેર રસ્તા પર ઉભરાઈ રહ્યા છેડભાણ ગામના ખ્રિસ્તી ફળિયામાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી. અહીં છેલ્લા ઘણા દિવસોથી ગટરના પાણી જાહેર રસ્તા પર ઉભરાઈ રહ્યા છે. વિસ્તારની મહિલા સંગીતાબેને જણાવ્યું કે, અમે પંચાયતમાં હતા ત્યારે અમારા બધા કામો થતા હતા. પણ જ્યારથી પાલિકામાં ભળ્યા છીએ ત્યારથી કોઈ કામ થતા નથી. ગટર લાઈન ઉભરાઈ છે પણ તે સમસ્યાનું પણ સમાધાન થયું નથી. ‘મનપા બની તે બાદ અમારી સમસ્યામાં વધારો થયો’કોકિલાબેને આક્ષેપ કર્યો હતો કે, અહિં ગટર ઉભરાઈ છે જેથી બાળકો સહિત તમામને ખુબ હાલાકી ભોગવવી પડે છે. સમસ્યા સર્જાય ત્યારે કાઉન્સિલરો માત્ર એક દિવસ પૂરતા આવે છે અને કામગીરીના ફોટા પડાવીને નીકળી જાય છે. બીજા જ દિવસથી પરિસ્થિતિ જસની તસ થઈ જાય છે. મહાનગર પાલિકા બની તે બાદ તો અમારી સમસ્યામાં વધારો થયો છે. મંજીપુરા વિસ્તારમાં પણ રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર જોવા મળી હતી. ગામમાં પ્રવેશતા જ એક તરફ રસ્તાનું કામ ચાલતું હોવાથી અને બીજી તરફનો રસ્તો પણ સાવ ખરાબ હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક લોકોની માગ છે કે, રોડના કામો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી દૈનિક અવરજવરમાં પડતી મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે. ડભાણના સ્થાનિક સુમિત્રા બેને જણાવ્યું કે, રસ્તા પર ખાડા પડી ગયા છે, બધે પાણી ભરાઈ છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે નવી બનેલી મહાનગરપાલિકામાં યોજાનાર ચૂંટણીએ મતદારોમાં ઉત્સુકતા જગાવી છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. આ વચ્ચે મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 11માં ભોગાવો નદી કાંઠો, ભરવાડવાસ વિસ્તાર, રામાપીર મંદિર વિસ્તાર, હનુમાન ચોકની શેરીઓ, રોહિદાસ વંસી સમાજ વાડી, અનુસૂચિત જાતિ વાસ, સુખધામ વિસ્તાર, ઘરસાડા વિસ્તાર, શનિ મહારાજ મંદિર, પી.એન.બી બેંક વિસ્તાર, વઢવાણ ઝોન ઓફિસ વિસ્તાર, બ્રહ્મસમાજ સોસાયટી વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર વિસ્તાર, બાલાસાગર તળાવ, દરગાહ વિસ્તાર, ભાવનગર રેલવે ફાટક વિસ્તાર, ત્રિમૂર્તિ સ્કૂલ વિસ્તાર, દેરાસર વિસ્તાર અને આર્ટસ કોલેજ રોડ વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલો છે. ‘અમે રોડ-રસ્તા મુદ્દે 15 વર્ષથી અરજીઓ પર અરજીઓ કરીએ છીએ’વોર્ડ નંબર-11ના ચામુંડાનગરમાં રહેતા કાંતિ દાના સોલંકીએ આક્રોશ સાથે જણાવ્યું કે, આ સોસાયટી બન્યાને લગભગ 15 વર્ષ થયા છે. રોડ-રસ્તા મુદ્દે 15 વર્ષથી અરજીઓ પર અરજીઓ કરવા છતાં હજી આ વિસ્તારમાં એકપણ પાર્ટી રસ લેતી નથી. માર્ચ મહિનો જતો રહ્યો અને અમે આમને આમ ઉલ્લુ બનીએ છીએ, પણ હવે કોઇ જાગો અને અમને રોડ રસ્તા આપો, પાણીની અને ગટરની વ્યવસ્થા આપો, ચોમાસાના ચાર મહિના સુધી કોઈ બાજુ જવાનો રસ્તો નથી, બાળકોને તકલીફ, મહિલાઓને તમામને તકલીફ પડી રહી છે. ‘રોડ બનાવી આપો, નહીં તો અમે કોઈને મત નહીં આપીએ’આ અંગે જોરાવરનગરના ભગવાન રાવળદેવે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં વર્ષોથી રોડની સુવિધા નથી, ચોમાસામાં એટલી બધી તકલીફ પડે છે કે, જેની કોઈ વાત ના થાય, પાણીમાં ટીંગાટોળી કરીને માણસોને લઈ જવા પડે છે. ચાલવામાં પણ બહુ જ તકલીફ પડે છે. માંખી અને મચ્છરનો ખુબ જ ત્રાસ છે. અમને રોડ બનાવી આપો, નહીં તો અમે કોઈને મત આપવાના નથી. ‘નાના છોકરાઓ માટે બાલ મંદિરની પણ સુવિધા નથી’આ અંગે આરતીબેન મકવાણાએ જણાવ્યું હતું કે, અમારે અહિં પાણી ભરાઈ રહે છે. આજુબાજુવાળા પાણી ઢોળે તો રોજ ઝઘડા થાય છે. આ વિસ્તારમાં 15 દિવસે એક વખત પાણી આવે છે. એમાંય 50 ટકા જેટલું પાણી તો કચરાવાળુ ગંદુ જ આવે છે. એ પાણી અમારે કેવી રીતે પીવું ? નાના છોકરાઓ માટે અહીં બાલ મંદિરની પણ સુવિધા નથી. બાલમંદિર માટે અમારે બાળકોને રેલવેના પાટા પાર કરીને જવું પડે છે. એ પણ સુવિધા કરાવો. અમારે પાણી વગર શું કરવું?આ અંગે લીલાબેન ડાભીએ જણાવ્યું હતું કે, અમારા ઘરના ભાઈઓ તો નોકરી અને કામ ધંધા માટે બહાર જતા હોય છે, તો અમારે પાણી વગર શું કરવું? બહારથી ટેન્કર મંગાવીએ તો એ રૂ. 500 લે છે. અમે મજૂરી કરીને ઘર ચલાવીએ છીએ. અહીં પાંચથી સાત દિવસે એક વખત પાણી આવે છે. અમને અહિં ખુબ તકલીફ પડે છે કોઈ સુવિધા નથી. મનપા બન્યા બાદ પણ વિવિધ મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છેઆ અંગે ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા વિશાલ પરમારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નં 11માં છેલ્લા 15 વર્ષથી આજ દિન સુધી અહીં એકપણ પ્રકારનો રોડ બનાવવામાં આવ્યો નથી કે ગટરની લાઈનની કોઈ સુવિધા આપવામાં આવી નથી અને સમયસર ક્યારેય પાણી આવ્યું નથી. સ્થાનિકોએ અનેક વખત નગરપાલિકા હતી ત્યારે પણ રજૂઆત કરી છે. ચૂંટાયેલા સભ્યોને સાથે રાખીને પણ રજૂઆત કરી છે. છેલ્લા દોઢ વર્ષથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી, અને અધિકારીઓનું શાસન આવ્યું ત્યારે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ આ લોકોની દાનત નથી લાગતી કે, આ વિસ્તારને ડેવલોપ કરવો પડે, રોડ રસ્તા બનાવવા પડે, સમયસર પાણી આપવુ પડે અને ભૂગર્ભ ગટર આપવી પડે. વધુમાં જણાવ્યું કે, આ કોમન પ્લોટમાં બાબા સાહેબનુ સ્ટેચ્યુ આવેલું છે, ત્યાં 14મી એપ્રિલ આવવાની છે, ત્યારે અહીં બાબા સાહેબના સ્ટેચ્યુએ કાર્યક્રમ યોજાશે, પણ અહીં આવવાની કોઈ વ્યવસ્થા નથી. ચોમાસુ હોય અને અહીંના લોકોને એમ્બ્યુલન્સ બોલાવવી હોય તો અહીં નાની ગાડી પણ આવી શકતી નથી. ટીંગાટોળી કરીને દર્દીને દેવ પાર્ટી પ્લોટ સુધી લઇ જવો પડે છે. વધુમાં જણાવ્યું કે, હવે ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે, ત્યારે જે પણ ઉમેદવાર હશે એ તમામને કહીએ છીએ કે, આ વિસ્તારમાં કામ નહીં થાય તો આવનારા દિવસોમાં તમે ચૂંટાયા હશો તો પણ તમારા ઘરમાંથી બહાર કાઢીને આ વિસ્તારનું કામ કરાવવા અમે કટીબધ્ધ છીએ. આ વોર્ડમાં કેટલા મતદારો?સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 11માં વર્ષ 2021માં પુરુષ મતદારો -7,803, સ્ત્રી મતદારો -7,254 મળી કુલ મતદારો -15,056 હતા. જે મહાનગરપાલિકા બન્યા બાદ આ વોર્ડ નં 11માં પુરુષ મતદારો-6,355, સ્ત્રી મતદારો - 5,576 મળી કુલ મતદારો - 11,931 થયા છે, એટલે કે આ વોર્ડમાં કુલ 3,125 મતદારોનો ઘટાડો નોંધાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગસુરેન્દ્રનગર મનપામાં જ્ઞાતિ મુજબ વસ્તી જોઈએ તો વોર્ડ નં 11માં કુલ 19,160 વસ્તી છે. જેમાં SCની વસ્તી-6,509, STની 111 અને OBCની વસ્તી 8,784ની છે. જયારે આ વોર્ડ નં 11માં બેઠક-1માં OBC સ્ત્રી અનામત, બેઠક-2માં સ્ત્રી અનામત, બેઠક-3માં SC અને બેઠક-4માં સામાન્ય વર્ગની બેઠક છે. અને આ વોર્ડ નં 11માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા વગેરેમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 એપ્રિલના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 એપ્રિલના રોજ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેને કારણે કચ્છ-ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતોગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણ માં પલટો આવતા માવઠું થયું હતું. અમદાવાદમાં પણ સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ વિસ્તારના ઓઢવ, નિકોલ, નરોડા, વિરાટનગર, સિંગરવા, વસ્ત્રાલ, કઠવાડા જેવા વિસ્તારોમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં અને ભારે પવન સાથે વરસાદ પણ થયો હતો.
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં લઘુમતી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવનાર AIMIM પાર્ટી દ્વારા જાહેર સભાથી પ્રચાર શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં લઘુમતી સમાજમાં પ્રભુત્વ ધરાવનારા પાંચ મહાનગરપાલિકાઓ 10 જેટલી નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 630 જેટલા ઉમેદવારો ઉભા રાખવામાં આવશે. આજે 4 એપ્રિલના રોજ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં જે.પી ચોક ખાતે AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવશે. સાંજે 7 વાગ્યે યોજનારી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. ઓવૈસીની પાર્ટી દ્વારા આજથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવશેરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાંથી 12 વોર્ડમાં મુસ્લિમ સમાજનું વધુ પ્રભુત્વ હોવાને લઈને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા 12 વોર્ડમાં 48 જેટલા ઉમેદવાર ઉભા રાખવામાં આવશે. ઓવૈસીની પાર્ટી દ્વારા આજથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવશે. અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં ગુજરાતના નેતાઓની સાથે મુલાકાત કર્યા બાદ સાંજે 7:00 વાગ્યાની આસપાસ ખાનપુરના જે.પી ચોક ખાતે જાહેર સભાને સંબોધન કરવાના છે. ગત વિધાનસભા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ખાનપુર ખાતે સભાને તેઓએ સંબોધન કર્યું હતું. ખાનપુર વિસ્તાર શાહપુર, દરીયાપુર અને જમાલપુર એમ ત્રણેય વોર્ડની બોર્ડર નો વિસ્તાર કહેવાય છે જેના કારણે આ વિસ્તારમાં જાહેર સભા રાખવામાં આવી છે. 48 વોર્ડમાંથી 12 જેટલા વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવશેAIMIM પાર્ટીના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી ગઈકાલે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. આજે ગુજરાતના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ સાંજે જાહેર સભાને સંબોધન કરવાના છે. AIMIM પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાંથી 12 જેટલા વોર્ડ જેમાં જમાલપુર, શાહપુર, દરીયાપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, લાંભા, મકતમપુરા, વેજલપુર, સરખેજ, ગોમતીપુર અને વટવા વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. AIMIM પાર્ટીમાં બે ઉમેદવારો અત્યારે નક્કી કરી દેવામાં આવ્યા છે જેમાં જમાલપુરમાંથી અફસાના બાનુ ચીસ્તી અને મકતમપુરા વોર્ડમાંથી ઝૈનબબીબીને ફરીથી ટિકિટ મળી શકે છે, જ્યારે જમાલપુર વોર્ડમાંથી જીત મેળવી કોર્પોરેટર બનેલા મોહમ્મદ રફીક ભાઈ હવે પાર્ટીમાં નિષ્ક્રિય છે અને તેમની જમાલપુર નથી લડવાની ઈચ્છા છે પરંતુ, અનામત રોટેશનના કારણે તેઓ લડી શકતા ન હોવાના કારણે ત્યાંથી તેમને ટિકિટ આપવામાં આવનાર નથી જ્યારે મુસ્તાક ખાદીવાલાએ AIMIM પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જેથી જમાલપુર વોર્ડમાંથી ફરીથી તેઓ ચૂંટણી લડશે નહીં જ્યારે બીનાબેન ચૌહાણને પણ ટિકિટ આપવામાં આવનાર નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 46 લાંભાના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશ દક્ષેશે કહ્યું કે, ચૂંટાયેલા કોર્પોરેટરો પાંચ વર્ષમાં પાંચ વાર પણ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં માત્ર કોર્પોરેટરોનો જ વિકાસ થયો છે, જ્યારે વોર્ડ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યો છે. લાંભામાં આજે પણ સ્મશાન, લાઈબ્રેરી કે જિમ્નેશિયમ જેવી પ્રાથમિક વ્યવસ્થાઓનો અભાવ હોવાથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાલાંભા વોર્ડમાંથી વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મોટા ભાગના લોકો ત્યાંથી મુસાફરી કરતા હોય છે. પરંતુ આ વોર્ડના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. લાંભા વોર્ડમાં નારોલ, રંગોળીનગરમાં હાઈફાઈ ચાર રસ્તા, લાંભા બળિયાદેવ મંદિર, વટવા ટર્નિંગ પોઇન્ટ, માંડવી ચોક લાંભા ગામ વગેરે વિસ્તારો આવેલા છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 'લાંભામાં પાણીની ટાંકી, લાઇબ્રેરી કે જિમ્નેશિયમની કોઈ વ્યવસ્થા નથી'સ્થાનિક એડવોકેટ અરબાઝ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના ચાર કોર્પોરેટરોને પાંચ વર્ષમાં આજસુધી અમે જોયા નથી. પાંચ વર્ષથી સત્તામાં હોવા છતાં એ લોકો ક્યારેય વોર્ડમાં વિઝીટ કરવા પણ આવ્યા નથી. અમારા વિસ્તારમાં આવેલી કેનાલની આસપાસ કોઈ પણ પ્રકારની સેફટી ગ્રીલ બનાવવામાં નથી. અને ગંદકીને લઈને પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. 'પાંચ વર્ષમાં કોર્પોરેટર અહીં 5 વાર પણ આવ્યા નથી'સ્થાનિક યુવા દક્ષેશએ જણાવ્યું હતું કે, લાંભા વોર્ડમાં વિકાસ થયો જ નથી. અમારા કોર્પોરેટરોએ અહીં કંઈ ધ્યાન આપતા નથી. સવારમાં કોર્પોરેટર માટે બે કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, પણ પાંચ વર્ષમાં કોર્પોરેટર અહીં પાંચ વાર પણ આવ્યા નથી. એક યુવાન તરીકે જોઉં તો અહીં લાઈબ્રેરી નથી, જીમ નથી કે લગ્ન કરવા માટે સરકારી હોલ પણ નથી. સામાન્ય જનતાને શું જોઈએ? અહીં રોડ, રસ્તા અને ગટર પણ નથી. રોડ બનાવવામાં આવે તો વરસાદ પહેલા રોડ બને છે અને વરસાદ પડે એટલે રોડ તૂટી જાય છે. 'ફક્ત ખેસ પહેરીને ફોટા પડાવશે અને સોશિયલ મીડિયામાં મૂકશે'સ્થાનિક દક્ષેશએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો શું આ જ વિકાસ છે? મને તો એવું લાગે છે કે અહીં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના માણસોનો જ કોન્ટ્રાક્ટ છે. ભાજપના માણસો ખાલી સોસાયટીએ-સોસાયટીએ જશે, ખાત મુહૂર્ત કરશે, એમના 20થી 25 માણસો આવશે અને ખેસ પહેરીને ફોટા પડાવશે અને સોશિયલ મીડિયામાં મૂકશે. બાકી, બીજું કઈ કામ નહીં કરે. 'આ વોર્ડની અંદર કોઈપણ જાતનો વિકાસ અમે જોયો નથી'લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, લાંભા વોર્ડ વિશે પ્રોબ્લેમની વાત કરીએ તો લાંભા વોર્ડમાં કોઈ સમસ્યા નથી. સમસ્યામાં લાંભા વોર્ડ છે એવું લાગી રહ્યું છે. 2010થી આ વોર્ડનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કરવામાં આવ્યો છે. જ્યારથી આ વોર્ડ બન્યો છે ત્યારથી આ વોર્ડની અંદર કોઈપણ જાતનો વિકાસ અમે જોયો નથી. 'જ્યાં જ્યાં પાણીના નળ નાખ્યા છે ત્યાંથી પાણી જ આવતું નથી'ઘનશ્યામભાઈ વધુમાં કહ્યું હતું કે, જે જે જગ્યાએ રોડ બનાવવામાં આવે છે એના બે મહિના બાદ એ રોડને ખોદી નાખવામાં આવે છે. રોજ રોજ ઉભરાતી ગટરો બનાવવામાં આવી છે. જ્યાં જ્યાં પાણીના નળ નાખ્યા છે ત્યાંથી પાણી જ આવતું નથી. 'રોડ રસ્તા પાણીની સગવડ છે જ નહીં'વોર્ડ કોંગ્રેસ પ્રમુખે કહ્યું, લાંભા બે ભાગમાં વહેંચાયેલું છે એક ભાગમાં કોઈ સ્થાનિક લોકો રહેતા નથી પરંતુ ત્યાં ટીપીના રોડ બનાવવામાં આવ્યા છે. સ્ટ્રીટ લાઈટ અને ગટરની વ્યવસ્થા પણ એ વિભાગમાં કરવામાં આવેલી છે. જ્યારે લાંભાનો બીજો વિભાગ જ્યાં પબ્લિક વસવાટ કરે છે એ જગ્યાએ કોઈ પણ પ્રકારના રોડ રસ્તા પાણીની સગવડ છે જ નહીં. આ વિસ્તારની અંદર જેટલા પણ ગામડા આવેલા છે એ ગામમાં હજી સુધી પીવાના પાણીની ટાંકી પણ નાખવામાં આવેલ નથી. હજી સુધી ત્યાં સ્મશાન પણ બનાવવામાં આવી નથી. પૂર્વ કોર્પોરેટરના ગોળ ગોળ જવાબસ્થાનિકોએ કરેલા આક્ષેપોના જવાબ માટે જ્યારે ભાસ્કરે લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચાંદની પટેલ સાથે વાત કરતાં તેને ગોળ ગોળ જવાબ આપ્યા હતા, તેના 5 વર્ષના કાર્યકાળના હિસાબો કરાવા લાગ્યા હતાં. 'મે 210 સોસાયટીઓમાં કામગીરી કરી છે'લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચાંદની પટેલે જણાવ્યું હતું કે, 210 સોસાયટીઓમાં પાણી, ડ્રેનેજ લાઇટ અને રસ્તાઓ માટે મારા બજેટમાંથી 5 વર્ષમાં મેં 1,44,98,659 જેટલું બજેટ ફાળવેલ છે. આ બજેટ 20 ટકા લેખે ફાળવવામાં આવે છે. સોસાયટીમાં આપણે સ્પોટ પર જોવા જઈએ તો 100 ટકા લેખે આ કામગીરી 7,24,93,295 રૂપિયાનું કામ થયેલું હોય.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 16માં રાજકીય માહોલ ગરમાયો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ જંગલેશ્વર અને કોઠારીયા રોડ જેવા વિસ્તારોની સ્થિતિ જાણી ત્યારે વિકાસના દાવાઓ વચ્ચે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અહીં 1400 મકાનોના ઐતિહાસિક ડિમોલિશન બાદ બેઘર થયેલા લોકોમાં શાસક પક્ષ સામે રોષ છે, તો બીજીતરફ નીલકંઠ પાર્ક અને મેહુલનગરમાં ગંદા પાણી, ઉભરાતી ગટર અને મચ્છરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજી GIDC પાસે ખરાબ રસ્તા અને પુલના અભાવે જીવલેણ અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે, ત્યારે 'કામ કરશે તેને જ મત'ના મિજાજ સાથે મતદારોએ નેતાઓને આડેહાથ લીધા છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે એક તરફ સત્તાધારી ભાજપ મંજુલાબેન જોષી ગાર્ડન, નવા રોડ-રસ્તા અને મંદિરોની સફાઈ જેવા વિકાસકામોના જોરે ફરી જીતનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગંદા પાણીની સમસ્યા, ઉભરાતી ગટરો, વરસાદી પાણીનો ભરાવો અને આજી નદીના કાંઠે વકરેલા મચ્છરોના ત્રાસને મુદ્દો બનાવી મેદાનમાં ઉતર્યા છે. આજી GIDC અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખરાબ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન મતદારો આગામી ચૂંટણીમાં પક્ષને બદલે કામ કરનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવાના મૂડમાં જણાઈ રહ્યા છે. વોર્ડમાં કોઈ સમસ્યા નથી, કોઈ સુવિધા ઘટતી હશે તે પુરી કરીશું: પૂર્વ BJP કોર્પોરેટરશહેરના વોર્ડ નં.16 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર રૂચીતાબેન જોશીએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં રસ્તા, લાઈટ, પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન છે ત્યારે દરેક મંદિરોમાં સ્વચ્છતા જાળવવામાં આવેલી છે. આ ઉપરાંત મંજુલાબેન જોષી ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું છે, જ્યાં 100 જેટલા યુવાનો પોલીસ બનવા માટે પ્રેક્ટિસ કરે છે અને ત્યાં બાળકો માટેનું ક્રીડાંગણ પણ છે. આરોગ્ય કેન્દ્ર ખૂબ જ સારી રીતે ડેવલપ થયું છે. વોર્ડમાં તમામ જગ્યાએ પાકા રસ્તાઓ છે અને ડ્રેનેજની કોઈ સમસ્યા નથી. લોકોને હજુ પણ કોઈ સુવિધાઓ ઘટતી હશે તે પૂરી કરાવવામાં આવશે. 'પાંચ વર્ષમાં તમામ ગ્રાન્ટ વિકાસના કામોમાં વાપરવામાં આવી'જંગલેશ્વરમાં મકાનો તોડવામાં આવ્યા તે બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, કોઈનું જતું હોય તો તેઓમાં નારાજગી હોય તે આપણે પણ સમજી શકીએ છીએ. જોકે વર્ષ 1990માં ત્યાં TPનો રોડ ફાઈનલ થઈ ગયો હતો. જેથી આ ડિમોલિશન કરવામાં આવ્યું. જોકે તે શાંતિપૂર્ણ રીતે થયું છે. પાંચ વર્ષ દરમિયાન વિકાસ કામોમાં તમામ ગ્રાન્ટ વાપરવામાં આવી છે. મંદિરો, કોમન પ્લોટ સહિતમાં પતરાના શેડ પણ લગાવ્યા છે. 'અડધા લોકોના મકાન તૂટી ગયા છે અને બાકીના તોડી પાડશે'મહાનગરપાલિકા દ્વારા જ્યાં સરકારી જમીન પર દબાણરૂપ મકાનો તોડી પાડવામાં આવ્યા તે અંકુર સોસાયટીમાં રહેતા મરિયમબેને જણાવ્યું હતું કે, ખોખળદડના નદીકાંઠાના વિસ્તારમાં રહીએ છીએ. જ્યાં મકાનો તોડવા માટે આવ્યા નથી, પરંતુ ત્યાં પણ મકાનો તોડી નાખશે તેવું કહેવામાં આવી રહ્યું છે. લોકોના મકાનો તૂટી પડતા અહીં ખૂબ જ ગંભીર સમસ્યા થઈ ગઈ છે, અનેક લોકોના અડધા મકાનો પડી ગયા છે અને બાકીના મકાનો તોડી પાડવા માટે પણ નોટિસ આપવામાં આવી છે. 'RMCના સફાઈકર્મીઓ અનેક સોસાયટીમાં સફાઈ કરવા આવતા નથી'આ ઉપરાંત વોર્ડ નંબર 16માં રહેતા કિરણબેન ભુવડે જણાવ્યું હતું કે, અહીં અમારે છેલ્લા ઘણા સમયથી લાઇટ, પાણી અને ગંદકીની સમસ્યા છે. અહીં આવેલા જંગલેશ્વરમાં વોકળા ખૂલ્લા હતા. જેને લીધે પ્રાણીઓ તેમાં પડી જતા હતા અને જીવ ગુમાવતા હતા. જેથી વર્ષ 2022માં કોર્પોરેશનમાં અરજી આપી હતી. જે બાદ ત્યાં પતરા નાખવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને પગાર આપવામાં આવે છે આમ છતાં પણ તેઓ અહીં આવેલી અનેક સોસાયટીઓમાં સફાઈ કરવા માટે આવતા જ નથી. જે બાદ ફરિયાદ કરવામાં આવે તો અઠવાડિયે એક વખત સફાઈ કરવા માટે આવે છે. 'પાણી, ડ્રેનેજ, લાઇટના પ્રશ્નોને પ્રાયોરીટી આપશે પક્ષને અમે પ્રાયોરીટી આપીશું'અહીં 20 મિનિટ પાણી આપવામાં આવે છે જો કે ઉનાળામાં ખૂબ જ તકલીફ પડે છે. જેથી કોર્પોરેશને અડધો કલાક પાણી આપવું જોઈએ. અમારા પાણી, ડ્રેનેજ, લાઇટ જેવા કોમન પ્રશ્નોને પ્રાયોરીટી આપે તે પક્ષને અમે પ્રાયોરીટી આપીશું. અમારા વિસ્તારમાં કોણ કોર્પોરેટર છે તે પણ મને ખ્યાલ નથી કારણકે તેઓ છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં આવ્યા જ નથી. પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડે તેમની પાસેથી બીજી શું આશા હોય: AAP પ્રભારી, વોર્ડ નં.16 વોર્ડ નંબર 16ના આમ આદમી પાર્ટીના પ્રભારી અને એડવોકેટ વિવેક લીંબસીયાએ જણાવ્યું હતું કે, અહીં નીલકંઠ પાર્ક, સાગર સોસાયટી, કેદારનાથ અને જંગલેશ્વર જેવા વિસ્તારો આવે છે. અહીં રહેણાંક વિસ્તારની સૌથી મોટી સમસ્યા પીવાનું પાણી, ગટર અને ગંદકીની છે. આ જ રીતે આજી GIDC અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવેલો છે. અહીં ખરાબ રસ્તાઓની સમસ્યા વર્ષોથી છે. રાજકોટના 30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડી ન શકે તો તેમની પાસેથી બીજી શું આશા હોય શકે?. અહીં આરોગ્ય કેન્દ્રમાં તબીબ તો સરકારી શાળામાં શિક્ષકોનો અભાવતેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ભાજપના પૂર્વ ચાર કોર્પોરેટર વિસ્તારમાં આવતા હોય તો લોકોને પ્રાથમિક સુવિધાઓની સમસ્યા ન હોય. અહીં આરોગ્ય કેન્દ્રમાં તબીબ તો સરકારી શાળામાં શિક્ષકોનો અભાવ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, છેલ્લા 30 વર્ષમાં ભાજપની જે નિષ્ફળતા છે તેને સફળતામાં બદલવામાં વિઝન સાથે આમ આદમી પાર્ટી લોકો સમક્ષ જશે અને લોકોમાં પોતાનો વિશ્વાસ પેદા કરશે. વ્યવસ્થિત પૂલનું નિર્માણ થાય તો વેપારી વર્ગની મુશ્કેલી દૂર થશે: સ્થાનિક કોઠારીયા મેઈન રોડ ઉપર રહેતા મિલનભાઈ રૂપાવટીએ જણાવ્યું હતું કે, અહીં વોર્ડ નંબર 16માં છેલ્લા 20 વર્ષથી પરિવાર સાથે રહીએ છીએ. અહીંના રસ્તાઓ સારા છે અને ખૂબ જ સારું મંજુલાબેન જોશી ગાર્ડન બનાવવામાં આવ્યું છે. અહીં રહેણાંક વિસ્તારમાંથી સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારમાં જવું હોય તો આજી નદીનો બેઠો પૂલ છે. જેને લીધે ત્યાંથી જવામાં તકલીફ પડે છે અને તેને કારણે હાઇવે પરથી રોંગ સાઈડમાં જવું પડે છે. જેને કારણે અકસ્માતોની ઘટના બને છે. જેથી વ્યવસ્થિત પૂલનું નિર્માણ થઈ જાય તો વેપારી વર્ગની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે. 'ભાજપ કોર્પોરેટરો રાત-દિવસ જોયા વિના અમારી પડખે ઊભા રહે છે'સ્થાનિક જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર 16માં છેલ્લા 35 વર્ષથી રહું છું. મારું પિયર વોર્ડ નંબર 17માં છે જેથી નાનપણથી જ આ વિસ્તારમાં રહું છું. અત્યારે જે મંજુલાબેન જોષી ગાર્ડન છે ત્યાં પહેલા ખુલ્લો પટ્ટ હતો. જેને કારણે ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. જોકે હવે તે સમસ્યા દૂર થઈ છે. અહીં પાણીની કોઈ સમસ્યા નથી. જોકે અહીંના લોકોનો સૌથી મોટો પ્રશ્ન વરસાદી પાણી ભરાઈ જવાનો છે. ચોમાસામાં થોડો પણ વરસાદ પડે તો અહીં પાણી ભરાઈ જાય છે, પાણી ઘરમાં ઘૂસી જાય છે જેને લીધે આખું ઘર પાણી પાણી થઈ જાય છે. જેથી વરસાદી પાણીનો નિકાલ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે, પરંતુ આ વખતે મત તો ભાજપને જ આપશું કારણકે અહીંના ભાજપ કોર્પોરેટરો રાત-દિવસ જોયા વિના અમારી પડખે ઊભા રહે છે. ચોમાસામાં વરસાદ આવે એટલે 80 ફૂટના રોડ પર પાણી ભરાઈ જાયનિવૃત શિક્ષક બળવંતભાઈ રામાવતે જણાવ્યું હતું કે, અહીં શિક્ષણની વ્યવસ્થા સારી છે. બાજુમાં જ હરિઓમ સ્કૂલ છે આ ઉપરાંત અન્ય બે ખાનગી સ્કૂલો પણ છે. રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન છે ત્યારથી વિકાસ તો અવિરત ચાલુ છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો કોઈપણ સમસ્યાઓ હોય તો અહીંના કોર્પોરેટરો સ્વજન તરીકે અમારી સાથે ઉભા રહ્યા છે. જોકે અહીંનો અમૂક ભાગ સૂચિત રહી ગયો છે. જો કે તે કાયદેસર થાય તે માટે કોર્પોરેટરો મહેનત કરી રહ્યા છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવેલી છે. જોકે ચોમાસામાં વરસાદ આવે ત્યારે 80 ફૂટના રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. જે સમસ્યા દૂર કરવા માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. 'વોર્ડ નં.16ના આ વિસ્તારોમાં ભાજપ સંપૂર્ણ નિષ્ફળ ગઈ'રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, અહીં વોર્ડ નંબર 16માં મેહુલનગર, ગોવિંદનગર, નાડોદાનગર, જંગલેશ્વર, દેવપરા અને હુડકો સહિતના વિસ્તારો આવેલા છે. આ વોર્ડમાં ભાજપની સત્તા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. અહીં મચ્છરોનો ખૂબ ત્રાસ છે. મહાનગરપાલિકામાં અરજી કરવા છતાં પણ આ વિસ્તારમાં એક પણ વખત ફોગિંગ કરવા માટે કોઈ આવ્યું નથી. અહીં આજી નદીમાં ગાંડી વેલના કારણે મચ્છરોનો અસહ્ય ત્રાસ છે. અનેક વિસ્તારની સોસાયટીઓમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબતેમણે જણાવ્યું કે, આ વોર્ડમાં આવતા જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ડિમોલિશન કરવામાં આવ્યું. રમઝાન માસની પણ પરવાહ કરવામાં ન આવી અને લોકોને બેઘર કરવામાં આવ્યા. હાલ ડિમોલિશન બાદ કાટમાળ એ જ સ્થિતિમાં પડ્યો છે. જેને લીધે અતિશય ગંદકી ફેલાઈ છે અને લોકોને રોગચાળાનો સામનો કરવો પડે છે. નાડોદાનગર, ન્યૂ સાગર સહિતની સોસાયટીઓમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. સફાઈનો બહુ મોટો પ્રશ્ન છે અને ટીપરવાન સમયસર આવતી નથી. લોકોને સારું પીવાનું પાણી મળે અને આરોગ્યની સુવિધા સારી મળેજો આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા આવશે તો જંગલેશ્વરમાં જે લોકોના મકાનો પડી ગયા છે તેઓને રહેવા માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. તાજેતરમાં મેહુલનગરમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતા લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. જ્યાં ટાઈફોઈડ અને મેલેરિયા જેવા રોગોનો ફેલાવો થયો છે તો લોકોને સારું પીવાનું પાણી મળે અને આરોગ્યની સુવિધા સારી મળે તેવા પ્રયત્નો રહેશે. પીવાનું પાણી ઓછું આવે છે અને ચોમાસામાં ગટર ઉભરાવવાના પ્રશ્નોનીલકંઠ પાર્ક શેરી નંબર 5માં રહેતા તસ્લીમબેને વધુમાં જણાવ્યું હતું કે, પીવાનું પાણી ઓછું આવે છે અને ચોમાસામાં ગટર ઉભરાવવાના પ્રશ્નો છે. અહીં સ્પીડ બ્રેકર નાખવા માટે ત્રણ વખત અરજી કરેલી છે આમ છતાં પણ કોઈ સ્પીડ બ્રેકર નાખવા આવતું નથી. થોડા સમય પહેલા અકસ્માતમાં એક ભાઈ મરતા મરતા બચી ગયા. જે લોકો સારું કામ દેખાડશે તેને મત આપશું. TPનો રોડ ભાજપના કોર્પોરેટરોએ મહા મહેનતે ખુલ્લો કરાવ્યોજ્યારે વાસુર બોરીચાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 16ના વિવેકાનંદનગર વિસ્તારમાં રહું છું. કોઠારીયા રોડ પર નંદા હોલ ચોકથી જંગલેશ્વરમાં ભવાની ચોક જતો રસ્તો છેલ્લા 18 વર્ષથી બંધ હતો. અહીંથી ટીપીનો 15 મીટરનો 50 ફૂટનો રોડ નીકળે છે. જે TPનો રોડ ભાજપના કોર્પોરેટરો દ્વારા મહેનત કરીને ખુલ્લો કરાવવામાં આવ્યો છે. હાલ આ રોડનું કામ ચાલુ છે જેથી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોને દેવપરા કે સોરઠીયાવાડી ફરીને આવવું નહીં પડે. તેઓ સીધા કોઠારીયા રોડ પહોંચી શકે તે પ્રકારનો આ રોડ છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કચ્છની 5 નગરપાલિકામાં 1.70 લાખ મતદારોનો વિક્રમી ઘટાડો નોંધાયો
કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, જેમાં આ વખતે 5 નગરપાલિકાઓની સાથે ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્ષ 2021ની ચૂંટણીમાં અંજાર (36 બેઠક), ભુજ (44), ગાંધીધામ (52), માંડવી (36) અને મુન્દ્રા (28) એમ કુલ 196 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 4,29,450 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, વર્તમાન ચૂંટણીના ચિત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગાંધીધામ હવે નગરપાલિકામાંથી અપગ્રેડ થઈને મહાનગરપાલિકા (મનપા) બની ગયું છે, જેના કારણે નગરપાલિકાઓની યાદીમાંથી ગાંધીધામની 52 બેઠકો બાદ થઈ છે અને તેની ખાલી પડેલી જગ્યાએ નખત્રાણા નગરપાલિકાનો નવો સમાવેશ કરાયો છે. નખત્રાણામાં 24 બેઠકો ઉમેરવામાં આવતા હવે પાંચ નગરપાલિકાઓની કુલ બેઠકોની સંખ્યા 172 થઈ છે, જ્યાં ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. ગાંધીધામ મનપા બનતા તેના સીમાંકનમાં ધરખમ ફેરફાર થયો છે, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરાતા મતદારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2021માં ગાંધીધામમાં 1,73,714 મતદારો હતા, જે આ વર્ષે વધીને 2,15,313 પર પહોંચી ગયા છે. આ નવા આંકડા મુજબ, ગાંધીધામ મહાનગરપાલિકામાં 1,12,250 પુરુષ મતદારો, 1,03,059 સ્ત્રી મતદારો અને 4 અન્ય મતદારો નોંધાયા છે. આમ, 2021ની સરખામણીએ નગરપાલિકા સ્તરે 24 બેઠકોનો ઘટાડો (196 સામે 172) થયો છે, પરંતુ ગાંધીધામ મહાનગરપાલિકામાં 41,599 જેટલા નવા મતદારો ઉમેરાતા કચ્છના રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવ્યો છે. નખત્રાણાના નવા સમાવેશ અને ગાંધીધામના મનપા તરીકેના ઉદય સાથે કચ્છમાં લોકશાહીનો આ જંગ આ વખતે વધુ રસાકસીભર્યો અને વ્યાપક બને તેવી શક્યતા છે. વર્ષ 2021 અને 2026માં મતદારોમાં થયેલ ફેરફાર કચ્છ જિલ્લા પંચાયતની 2 બેઠક ઓછી થઇ પાંચ વર્ષમાં 98,495 મતદારોનો ઘટાડોકચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ત્યારે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ હાલ સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ આ વખતે મતદારોના આંકડામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. વર્ષ 2021ની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 40 બેઠકો પર કુલ 10,75,380 મતદારો નોંધાયા હતા, જેમાંથી 6,80,156 લોકોએ મતદાન કરતા 63.25% મતદાન નોંધાયું હતું. જોકે વર્ષ 2026માં ગાંધીધામ મહાનગરપાલિકા બનતા અને SIRની કામગીરીને કારણે જિલ્લા પંચાયતની બે બેઠકો ઓછી થઈ છે. જેમાં મીઠી રોહર અને અંતરજાળનો સમાવેશ થાય છે. જેથી હવે આ વર્ષે 38 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ ફેરબદલને કારણે કુલ મતદારોની સંખ્યા ઘટીને 9,76,885 થઈ છે, જે ગત ચૂંટણીનીમાં 10,75380 હતી. સરેરાશ 98,495 મતદારોનો ઘટાડો દર્શાવે છે. આ ઘટાડા પાછળ મુખ્યત્વે ડુપ્લીકેટ મતોના નામ કમી કરવાની ઝુંબેશ અને નવા સીમાંકનમાં કારણે બે બેઠકો ઓછી થવી જેવા ફેરફારો જવાબદાર આવે છે. જાતિવાર આંકડા જોઈએ તો, 2021માં 5,57,444 પુરુષ અને 5,17,936 સ્ત્રી મતદારો હતા, જ્યારે 2026માં પુરુષ મતદારોની સંખ્યા 5,06,287 થઈ છે, જયારે સ્ત્રી મતદારોની સંખ્યામાં ઘટાડો થઈને તે 4,70,597 પર પહોંચી છે, આમ 50,557 પુરુષ અને 47,339 સ્ત્રી મતદારોનો ઘટાડો થયો છે.બે બેઠકોની સંખ્યા ઘટવાની સાથે મતદારોની યાદીમાં થયેલું આ શુદ્ધિકરણ આગામી ચૂંટણીના પરિણામો પર નિર્ણાયક અસર પાડી શકે છે. વર્ષ 2021 vs 2026માં મતદારોમાં થયેલ ફેરફાર
દાનની વર્ષા થઈ:લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનને 80 લાખનું દાન
તાલુકાના દેશલપર ખાતે આવેલા લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન-સંસ્કારધામની સ્થાપનાને 30 વર્ષ પૂર્ણ થતાં હોવાથી, આગામી તા. 25થી 27-4 દરમિયાન ‘ત્રિદશાબ્દિ મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવનાર છે. આ મહોત્સવના સુદ્રઢ આયોજન માટે તજેતરમાં કેન્દ્રસ્થાન ખાતે એક અગત્યની સભા યોજાઈ હતી, જેમાં કચ્છભરના લક્ષ્મીનારાયણ મંદિરોના 600 જેટલા પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના મંત્રી કીરીટભાઈ ભગતે સૌને આવકાર્યા હતા. સંસ્થાના પ્રમુખ ગંગારામભાઈ રામાણીએ મહોત્સવની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક મહોત્સવ દરમિયાન રૂ. 12 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલા અને 70 રૂમો તથા ભોજનાલયની અદ્યતન સુવિધા ધરાવતા ‘અતિથિભવન’ નું લોકાર્પણ કરવામાં આવશે. ત્રિદિવસીય મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા, વિષ્ણુયાગ અને સંતો-વિદ્વાનોના પ્રેરણાદાયી પ્રવચનોનું પણ આયોજન કરાયું છે. આ સભામાં દાનનો અદભુત મહિમા જોવા મળ્યો હતો. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-નખત્રાણાના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી અને કેન્દ્રીય સમાજના મહામંત્રી અશોકભાઈ ભાવાણીએ મહોત્સવને સફળ બનાવવા સૌને તન, મન અને ધનથી જોડાવા હાકલ કરી હતી. સંસ્થાના મહામંત્રી ઈશ્વરભાઈ ભાવાણીની દાનની અપીલને ભારે પ્રતિસાદ મળ્યો હતો અને માત્ર અડધા કલાકમાં જ ભાવિકો દ્વારા રૂ. 80 લાખના દાનની સરવાણી વહાવવામાં આવી હતી. આ ઉદાર યોગદાન બદલ ઉપપ્રમુખ કૌશલભાઈ લીંબાણીએ દાતાઓનો આભાર માન્યો હતો. જ્યારે કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ જગદીશભાઇ લીંબાણીએ યુવા સંઘ તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સંસ્કાર સંવર્ધન સમિતિના ચેરમેન રતિભાઈ પોકારે સંસ્થાની 30 વર્ષની કામગીરીને આલેખતો ‘સ્મૃતિગ્રંથ’ પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. સભાનું સફળ સંચાલન ઈશ્વરભાઈ ભાવાણીએ કર્યું હતું, જેમાં એસએલવીપીના ચેરમેન પ્રો. કે.વી. પાટીદારનો સહયોગ સાંપડ્યો હતો. આ પ્રસંગે પૂજાભાઈ શીરવી, ડો. પ્રેમજીભાઈ ગોગારી, નારણભાઈ ચોપડા, પ્રેમજીભાઈ ભાવાણી, ઉપપ્રમુખ મોહનભાઈ ચોપડા, મંત્રી પ્રવિણભાઈ ધોળુ, શાન્તીલાલ નાકરાણી, બાબુભાઈ ચોપડા અને ખજાનચી ગંગારામ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુમ્બલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કચ્છના મતદારો આ વખતે પરિવર્તન લાવવા માટે તૈયાર છે. ગ્રામ પંચાયતોથી લઈ જિલ્લા પંચાયત સુધી વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગ્રામ પંચાયતોમાં 10થી 12 ટકા અને નગરપાલિકાઓમાં આશરે 40 ટકા સુધીની ટકાવારી જિલ્લાથી પ્રદેશ કાર્યાલય સુધી લેવામાં આવે છે. ભાજપના શાસનમાં અધિકારીરાજ આવ્યું, અમે લોક શાસન લાવશું. કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા 80 ટકા પૂર્ણ થઈ ગઈ છે તેમજ ઉમેદવારો માટે પણ સ્વચ્છ અને પ્રજા લક્ષી કામોને પ્રાધાન્ય આપે તેવા પસંદગીની વાત કરતા હુંબલે જણાયું કે, ભાજપા સરકારે વિકાસ કામો કર્યા તેમાં ગુણવત્તા ઘટી રહી છે અને તેનો રોષ સ્થાનિક સરપંચો તથા પંચાયતના સભ્યોને સહન કરવો પડી રહ્યો છે. ફરિયાદ કરનાર ગ્રામ પંચાયતોને વિકાસ કામોથી વંચિત રાખવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સિંચાઈ સહિતના કામોમાં માત્ર 20 ટકા જ રકમ વપરાય છે જ્યારે બાકીની રકમ ભ્રષ્ટાચાર દ્વારા વેરવિખેર થાય છે. ભાજપ સરકાર પંચાયતી રાજના અધિકારોને કમજોર બનાવી રહી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય સત્તા મળતી નથી. વિકાસ કામોના ઉદ્ઘાટન કાર્યક્રમોમાં પણ કોન્ટ્રાક્ટરો પાસેથી ખર્ચ વસૂલાતો હોવાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતો, યુવાનો અને મહિલાઓમાં ભાજપ વિરુદ્ધ નારાજગી વધતી હોવાનો દાવો કરીને કોંગ્રેસે સ્વચ્છ છબી ધરાવતા યુવાન ઉમેદવારોને તક આપવાની વાત કરી છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળશે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્તા પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સીમાંકનમાં વિસંગતતાઓ દેખાય છે ટકાવારી મુજબ ફેરફાર થવા જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમને ફાયદો થાય તે મુજબ ફેરફાર કર્યો છે. ખેડૂતો પર ખાનગી કંપનીના હિસાબે અત્યાચાર થાય તે પણ ખેડૂતો ભૂલશે નહીં શિક્ષકોની ઘટનુ સમાધાન માત્ર વાત કરવા પૂરતું જ છે. ઉમેદવારની યાદી 6 તારીખ સુધી તૈયાર થશેઆગામી ચૂંટણીમાં ઉમેદવારોની યાદી માટે જે પ્રક્રિયા થઈ રહી છે તે મહત્વનું કામ ક્યારે પૂર્ણ થશે અને યાદી બહાર પડશે તે અંગે તેમણે જણાવ્યું કે આવતી કાલે સેન્સ પ્રક્રિયા પૂરી થતાં ગુજરાત પ્રદેશ કાર્યાલય પરથી પેનલ દ્વારા નામો નક્કી કરવામાં આવશે, તે મુજબ યાદી તૈયાર થશે. તારીખ 6 એપ્રિલ સુધી ઉમેદવારો નું લિસ્ટ બની જશે. જોકે ફોર્મ તારીખ 11 એપ્રિલ સુધી ભરવાનું છે માટે ત્યાં સુધી ફેરફાર થાય કે ભાજપ કોઈ સબળ ઉમેદવારને આંચકી લે તો નવાઈ નહીં.
વિકાસ કામોને વેગ અપાયો:મમુઆરામાં 8 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
મમુઆરા ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ₹ 8 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનસુખાકારીના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્રિકમભાઈએ આ તકે જણાવ્યું હતું કે, રોડ, શિક્ષણ અને સિંચાઈ જેવી પાયાની સુવિધાઓમાં વધારો કરીને સરકાર નાગરિકોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ જાટીયા, તાલુકા પંચાયત સદસ્ય ધનજી ચાવડા, મમુઆરા સરપંચ ગોકુલભાઈ જાટીયા, મહંત ભગવાનદાદા કાપડી, અને આગેવાનો સર્વે લખમણભાઇ માવજી, જાણીતા ઉદ્યોગપતિ સતીશભાઈ છાંગા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બી.કે.ટી. કંપની તરફથી એ.જી.એમ. સીએસઆર ડી.બી. ઝાલા (નિવૃત્ત ડી.વાય.એસ.પી.), જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, ટીડીઓ દિક્ષિતભાઈ ઠક્કર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. બે વર્ષમાં 27 નવી માધ્ય. શાળાઓ મંજૂરજિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છમાં 27 નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરાઈ છે. મમુઆરામાં નવી હાઈસ્કૂલ બનવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને હવે દૂર ભણવા જવાની જરૂર નહીં રહે. ત્રિકમભાઇ છાંગાએ બી.કે.ટી કંપનીના સી.એસ.આર કામોની સરાહના પણ કરી હતી. કયા કયા વિકાસકામો થયા ?
કચ્છના પ્રાચીન નગર ધોળાવીરાએ ફરી એકવાર પોતાની અનોખી જળવ્યવસ્થા દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સિંધુ ખીણ સંસ્કૃતિના આ પ્રાચીન મહાનગરની મુલાકાતે આવેલા જાણીતા લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અહીના જળસંચય, ગંદા પાણીના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ધોળાવીરાની જળસંરચનાઓ દર્શાવતો વિડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ઐતિહાસિક સ્થળની પ્રશંસા કરી હતી. સુધા મૂર્તિના જણાવ્યા મુજબ, ધોળાવીરામાં એવી ચેનલો અને નાળીઓ બનાવવામાં આવી હતી કે જેથી વધારે પડતો વરસાદી પાણી રોકાઈ ન જાય અને યોગ્ય રીતે બહાર નીકળી જાય. આ રચના કારેઝ જેવી પ્રાચીન જળવ્યવસ્થાની જેમ છે. નાળાઓ માત્ર વરસાદી પાણીના નિકાલ માટે જ નહીં, પરંતુ પાણીના સંગ્રહ, વિતરણ અને શુદ્ધિકરણ માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. વિશેષ વાત એ છે કે, અહીં લગભગ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા હતી અને ત્યાંથી નીકળતો ગંદો પ્રવાહ નદી કે દરિયામાં ભળી પ્રદૂષણ ન ફેલાવે, અને ખાસ બનાવેલા નાળાઓ મારફતે શહેરની બહાર મોકલવામાં આવતો હતો. સાથે જ તેમણે કહ્યું કે, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા દેશમાં 5 થી 7 હજાર વર્ષ જૂનું આવું નગર આજે પણ ગૌરવશાળી શહેર અડીખમ છે.
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ તાલુકાના લોકોનું એકમાત્ર મુખ્ય ફરવા લાયક સ્થળ જનતા બાગની હાલમાં અત્યંત દયનીય સ્થિતિ જોવા મળે છે. પંડિત દિન દયાળ ઉપવન બગીચામાં હાલમાં ઘાસ ઝાડીઓ એટલી ઊભી થઈ ગઈ છે કે તેને જંગલ જેવું બનાવી દીધું છે. પાલિકા તંત્ર અને અગાઉના સતાધીશો દ્વારા જાળવણી કરવામાં ન આવતા લોકોં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જનતા બાગમાં બાંકડા ઉપર બેસવાનું તો દૂર પણ ખડના હિસાબે પગ રાખવા માટે પણ જગ્યા મળતી નથી. આ સ્થિતિને કારણે સવારે વોકિંગ, વ્યાયામ અને શાંતિ માટે આવતા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના નાગરિકોને ભારે અસુવિધા ભોગવવી પડી રહી છે. સાવરકુંડલા શહેરમાં દોડધામ ભરેલા જીવનમાં જનતા બાગ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં લોકો કુદરતી વાતાવરણમાં ફ્રેશ થઈ શકે, ચાલી શકે, બેસી શકે અને મનને શાંતિ આપી શકે. રવિવારે તહેવારોના દીવસેં તેમજ રજાના દિવસોમાં બગીચો નાના મોટા સૌનું પ્રિય સ્થળ બને છે. હવે સફાઈના સંપૂર્ણ અભાવને કારણે આ સુંદર સ્થળમાં હેરાનગતિ પામી રહ્યા છે. જનતાબાગમાં લોકોને અને સિનિયર સીટીઝનો માટે સવારે વોકિંગ માટે ક્યાં ચાલવું તેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. બાળકો અને વૃદ્ધો માટે આરામનું સ્થળ ક્યારે પુનઃસ્થાપિત થશે. ? શહેરીજનો દ્વારા સત્તાધીશો પાસે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. બગીચાની સાફ-સફાઈ, ઘાસ કાપણી, બાંકડા અને પગથિયાંની સુવિધા પુનઃસ્થાપના તથા નિયમિત જાળવણીની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
આત્મહત્યા:એક આધેડે ઝેર પીધું તો યુવકે ગળાફાંસો ખાધો
વડીયા તાલુકાના તોરી ગામે 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું છે અને સાવરકુંડલામાં 56 વર્ષીય આધેડે દવા પી લેતા મોત થયું છે. તોરી ગામની સીમમાં સવારના સમયે 28 વર્ષીય નિકુંજભાઈ ભીખુભાઈ રાઠોડે અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. જે અંગે તેઓના પિતા ભીખુભાઈ નાથાભાઈ રાઠોડે જાણ કરતા વડીયા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સા.કુંડલામાં નૂરાનીનગરમાં રહેતા ઈકબાલભાઈ સૈયદ (ઉ.વ.56) એ બપોરે ત્રણ વાગ્યે કબ્રસ્તાનમાં જઈ કોઈ અગમ્ય કારણો સર દવા પી લેતા મોત થયું છે. આ અંગે તેમના દીકરા ઇમ્તિયાઝભાઇ ઈકબાલભાઈ સૈયદે જાણકારી આપતા સાવરકુંડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સહાનૂભૂતિ:ભુરખિયા હનુમાનજી મંદિરે માનવતાનું દ્રશ્ય
લાઠી નજીક આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ઉજવાતા હનુમાન જન્મોત્સવના મેળામાં આ વર્ષે માનવતાનો સ્પર્શ કરતું દૃશ્ય જોવા મળ્યું હતું. મેંદરડા તાલુકામાં કાર્યરત એજ્યુકેશન ટ્રસ્ટના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો દાદાના દરબારમાં પહોંચતા હજારો શ્રદ્ધાળુઓમાં કરુણા અને સહાનુભૂતિની લાગણી જગાવી હતી. ભુરખિયા હનુમાજી ખાતે આ મેળામાં આવેલા આ બાળકોને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના દર્શન પ્રવેશદ્વાર પાસે સંસ્થાને સ્ટોલ રાખવાની પરવાનગી આપવામાં આવી, જેથી દર્શન કરવા આવતા હજારો ભક્તો આ બાળકોને જોઈ શકે અને પોતાની ક્ષમતા મુજબ સહાય કરી શકે. આ સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી પોતે પણ અતિ ગંભીર પ્રકારના વિકલાંગ છે અને ચોપગા પશુની માફક ચાલે છે. છતાં તેઓ અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકોની સેવા, સંભાળ અને લાલન-પાલન માટે સતત પ્રયત્નશીલ રહે છે. મેંદરડા નજીકના સમઠીયાળા ગામથી આવેલા આ બાળકોને જોઈ ઘણા ભક્તોમાં કુતૂહલ સાથે કરુણાનો ભાવ જાગ્યો હતો. ઈશ્વરની અનોખી રચનાને નિહાળી અનેક લોકો અંતરથી પ્રેરાઈ સહાય માટે આગળ આવ્યા હતા. આ પ્રસંગે ઘણા શ્રદ્ધાળુઓએ કહ્યું કે આવી સેવા જોઈને ઈશ્વરની હાજરી દરેક જગ્યા પર હોવાનો અનુભવ થાય છે. ત્યારે ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે ભુરખિયા હનુમાનજીના દરબારમાં માત્ર ધાર્મિક ભાવનાનો જ નહીં પરંતુ માનવતા, સેવા અને કરુણાનો પણ સંદેશ પ્રસરી ગયો હતો.
રાજ્યભરમાં રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનો વેગ વધી રહ્યો છે ત્યારે સાવરકુંડલાની ઐતિહાસિક ઓળખ સમાન નાવલી નદીના કાંઠે એક ગંભીર સામાજિક અને આર્થિક સંકટ ઊભું થયું છે વર્ષોથી પરંપરાગત રીતે વેપાર કરતા પાલા ધારકો પર આજે વિસ્થાપિત થવાની તલવાર લટકી રહી છે. કોર્ટના નિર્ણય બાદ પ્રશાસન દ્વારા અપાયેલી બીજી નોટિસથી હજારો પરિવારોના ચૂલા ઓલવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સાવરકુંડલાના રિધ્ધિ સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીના વિસ્તારમાં સૂચિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અત્યારે ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. શહેરના વિકાસ માટે રિવરફ્રન્ટ આવકાર્ય છે પરંતુ જે વિસ્તારમાં તેનું આયોજન થઈ રહ્યું છે, તેનાથી સ્થાનિક અર્થતંત્ર અને સેંકડો પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આ પાલા હટાવવાથી અનેક પરિવારો રોજગારી વિહોણા થશે. જે તેમને શહેર છોડી અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર કરશે. સાવરકુંડલાના બુદ્ધિજીવીઓના મતે રિધ્ધિ સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીનો વિસ્તાર રિવરફ્રન્ટ કરતાં કોમર્શિયલ હેતુ માટે વધુ પ્રસ્તુત છે. સાવરકુંડલા એક મર્યાદાશીલ અને પરંપરાગત મૂલ્યો ધરાવતું શહેર છે. સતત ચહલપહલ વાળા વ્યાપારી વિસ્તારમાં રિવરફ્રન્ટનો મૂળ હેતુ સિદ્ધ થશે કે કેમ તે એક મોટો સવાલ છે. જાણકારોનું સૂચન છે કે તંત્રએ ફરીથી ફિઝિબિલિટી રિપોર્ટ કરાવી, રિવરફ્રન્ટના વિસ્તારને શહેરના ઉપલે કાંઠે વિસ્તરિત કરવા અંગે માંગણી કરી છે. જેના કારણે મુખ્ય વ્યાપારી કેન્દ્રને નુકસાન ન પહોંચે. સાવરકુંડલામાં રાજવી કાળમાં નેક નામદાર મહારાજા સ્વ. કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાના રોટલા અને ઓટલાની રક્ષા માટે આ પાલા ધારકોને મંજૂરી આપી હતી. અમુક ધારક પાસે મહારાજા દ્વારા અપાયેલ તાંબા પત્ર જેવા દસ્તાવેજો પણ હોવાનું મનાય છે. ભૂતકાળમાં સ્વ. નવીનચંદ્ર રવાણી જેવા નેતાઓએ જેમના હિતોનું રક્ષણ કર્યું હતું. આ સંદર્ભે સાવરકુંડલામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પાલા ધારકોએ જ્ઞાતિ અને સમાજના અગ્રણીઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. સર્વાનુમતે તંત્રને જાહેર અપીલ કરવામાં આવી હતી કે શહેરની શોભા વધે તેની સામે વાંધો નથી, પરંતુ તે કોઈના મોઢાનો કોળિયો છીનવીને ન થવું જોઈએ. પાલા ધારકો છેલ્લા ત્રણ કે ચાર પેઢીથી અહીં વ્યવસાય કરીને પેટિયું રળે છે. ટાઢ, આકરો તડકો, ચોમાસા દરમિયાન નદીના પાણીના ભય સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
શિક્ષણ:આજથી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ: EWS કેટેગરીનો પણ સમાવેશ કરાયો
ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યા્ર્થીઓને ધોરણ 1માં આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ માટેની પ્રક્રિયાનો 4 એપ્રિલ શનિવારથી પ્રારંભ થશે લાયકાત ધરાવનારા https;/rte.orpgujarat.com વેબસાઈટ પરથી 14મી એપ્રિલ સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. શિક્ષણ વિભાગે વર્તમાન શૈક્ષણિક વર્ષથી આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં 13 અગ્રતા કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો સમાવેશ કર્યો છે. ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં આંગણવાડીના બાળકો માટેનો અગ્રતા ક્રમાંક 9થી 11 કરાયો છે. જેના કારણે એસસી-એસટી-ઓબીસી-ઈડબલ્યુએસ કેટેગરીને અગ્રતા મળશે. પ્રવેશમાં અમદાવાદ સહિતની રાજ્યની સ્કૂલોમાં આરટીઈ હેઠળની 25 ટકા પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓ જે તે સ્કૂલમં સવારની અને બપોરની એમ બે પૈકીની એક અનુકુળ શિફ્ટ પસંદ કરી શકશે. શિક્ષણ નિયામક દ્વારા 2025-2026ના વર્ષ માટે અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોના વાલીઓને માટે વાર્ષિક આવકની મર્યાદા 6 લાખની કરાઈ હતી. અગાઉના વર્ષોમાં ધોરણ 1 માટે ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખની આવક મર્યાદા હતી. આંગણવાડીના બાળકો માટેનો ક્રમાંક 9થી 11માં કરાતા રિઝર્વ કેટેગરીને અગ્રતા મળશેઆંગણવાડીના બાળકો માટેનો ક્રમાંક બદલવામાં આવતા રિઝર્વ કેટેગરીના વાલીઓ-બાળકોને પ્રવેશમાં પ્રાધાન્ય મળશે. ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં આંગણવાડીના બાળકો માટેનો અગ્રતા ક્રમાંક 9થી 11 કરાયો છે. જેના કારણે એસસી-એસટી-ઓબીસી-ઈડબલ્યુએસ કેટેગરીને અગ્રતા મળશે. 13 કેટેગરીમાં અગ્રતાક્રમ મુજબ પ્રવેશ અપાશેકુલ 13 કેટેગરી નક્કી કરાઈ છે. જેમાં અનાથ બાળકો, બાળ મજૂર, દિવ્યાંગ બાળકો, શહીદ જવાનના સંતાનો, બીપીએલ કાર્ડ ધારકોને અગ્રતાક્રમ બાદ એસસી, એસટી તેમજ ઈડબલ્યુએસ સહિતના વર્ગના બાળકોનો સમાવેશ. 25% મુજબ કુલ 9709 શાળામાં 84228 બેઠકો માધ્યમ સંખ્યા ગુજરાતી 41411 અંગ્રેજી 40262 હિન્દી 2235 અન્ય માધ્યમ 320 કુલ શાળાઓ 9709 વાલી, વિદ્યાર્થીના આ પુરાવા રજૂ કરવા જરૂરીઉંમર : પહેલી જૂન,2026ના રોજ બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ, રહેઠાણનો પૂરાવો. , વાલીનું જાતિનું પ્રમાણપત્ર જન્મનું પ્રમાણપત્ર , પાસપોર્ટ સાઈઝના કલર ફોટો, વાલીનું આવકનું પ્રમાણપત્ર ,બીપીએલ-બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધારકાર્ડ
પશ્ચિમમાં 10 સ્માર્ટ સિગ્નલ:આંબાવાડીમાં સિગ્નલ પર ઊભા રહેવાનો સમય 30 સેકન્ડ સુધી ઘટી ગયો
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરનું ટ્રાફિક મેનેજમેન્ટ હવે હાઈટેક બન્યું છે. પશ્ચિમ વિસ્તારનાં સૌથી વ્યસ્ત 10 મુખ્ય જંક્શનો પર હવે ટ્રાફિક પોલીસને બદલે ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) કમાન સંભાળી રહ્યું છે. આ સ્માર્ટ સિગ્નલ્સ હવે રસ્તા પર વાહનોની સંખ્યા જોઈને પોતાની મેળે નક્કી કરે છે કે કઈ તરફની વાહનોની લાઇન કેટલી સેકન્ડ ખુલ્લી રાખવી. ટ્રાફિક ડીસીપી નરેશ કણઝરિયાએ જણાવ્યું કે, સફળ ટ્રાયલ બાદ વધુ 50 જંક્શન પર આ સિસ્ટમ કાર્યરત કરાશે. હાલ આ 10 જંક્શન પર સિસ્ટમ કાર્યરતઆંબાવાડી સર્કલ, નહેરુનગર સર્કલ, શિવરંજની ચાર રસ્તા, જોધપુર ક્રોસ રોડ, સ્ટાર બજાર ત્રણ રસ્તા, ઈસરો ગેટ, શિવાનંદ આશ્રમ, રામદેવનગર, ઇસ્કોન ક્રોસ રોડ અને સીએન વિદ્યાલય જંક્શન. ITMSથી શું ફાયદો થશે? સમયની બચત: વાહનોની સંખ્યા મુજબ સિગ્નલ ચાલુ રહેતુ હોવાથી કારણ વગર ઊભા રહેવું નહીં પડે. ઇમરજન્સી વ્હીકલને રાહત: એમ્બ્યુલન્સ કે ફાયરબ્રિગેડને સેન્સર દ્વારા ઝડપી રસ્તો મળશે. મેનપાવર: ટ્રાફિક પોલીસ હવે સિગ્નલ ઓપરેટ કરવાને બદલે કાયદો-વ્યવસ્થા પર ધ્યાન આપી શકશે. નિયમ ભંગ: આઈટીએમસના કેમેરા જંક્શનનું સતત મોનિટરિંગ કરે છે. અંધારામાં પણ સ્પષ્ટ કેપ્ચર કરે છે. ITMS કેવી રીતે કામ કરે છે? : આ સિસ્ટમમાં લાગેલા સેન્સર રસ્તા પર વાહનોની લાઇન માપે છે. જો કોઈ રસ્તા પર ટ્રાફિક ઓછો હોય, તો ત્યાં ગ્રીન સિગ્નલનો સમય આપમેળે ઘટાડી દે છે અને જ્યાં વધુ ટ્રાફિક હોય ત્યાં ગ્રીન સિગ્નલનો સમય વધારી ટ્રાફિક ક્લિયર કરે છે. અગાઉ શું હતું અને હવે શું સ્થિતિ? આંબાવાડી સર્કલ | અગાઉ ટ્રાફિક ન હોય તો પણ 90 સેકન્ડ ઊભા રહેવું પડતું, હવે વાહનો ઓછાં હોય તો 30થી 60 સેકન્ડમાં જ સિગ્નલ ક્રોસ કરી શકાય છે. નહેરુનગર સર્કલ | અગાઉ BRTS, ખાનગી વાહનોના કારણે ટ્રાફિક જવાનોએ સતત મેન્યુઅલ સંચાલન કરવું પડતું હતું. હવે સેન્સર નક્કી કરે છે કે કયો રસ્તો ખોલવો. શિવરંજની ચાર રસ્તા | પહેલાં 120 સેકન્ડથી વધુ સમય ઊભા રહેવું પડતું. આઈટીએમએસથી ટ્રાફિકનું ભારણ વધતા જ ગ્રીન લાઇટનો સમય આપોઆપ વધી જાય છે, જેથી એકસાથે વધુ વાહનો નીકળી જાય. જોધપુર ક્રોસ રોડ | પીક અવર્સમાં જામ રહેતો હતો. હવે સેન્સર લાઇનની લંબાઈ માપે છે. જો 500 મીટર લાંબી લાઇન હોય તો લાઇન અડધી ન થાય ત્યાં સુધી ગ્રીન સિગ્નલ ચાલુ રહે છે.
ચપ્પુથી હુમલો:રાજપીપળા બજારમાં લારી મૂકવાના મામલે લારીધારક પર ચપ્પુથી હુમલો
રાજપીપળા શાકમાર્કેટમાં ફ્રૂટની લારી મુકવા બાબતે બે વેપારીઓ વચ્ચે મારમારી થઇ હતી. આ મારામારીમાં બે વેપારીઓએ એક સંપ થઇને અન્ય વેપારી પર ચપ્પુથી હુમલો કરતાં તેને ઇજાઓ પહોંચી હતી. રાજપીપળાના નવાફળીયા મોતીબાગમાં રહેતા અમિત માછીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, શાકમાર્કેટમાં એક જ જગ્યાએ પોતે અને નિતેશ માછી વારાફરતી ફ્રૂટની લારી ઉભી રાખતા હતાં. નિતેશ માછીનો વારો પૂર્ણ થતાં અમિત પોતાની લારી ઉભી રાખવા માટે સફાઇ કરી રહયો હતો. આ સમયે ત્યાં હાજર નિતેશે તું સફાઈ કેમ કરે છે તેમ કહ્યું ત્યારે અમિત માછી એ કહ્યું કે મારો વારો આવે એટલે જે તે લારી મુકવાની જગ્યા હું સાફ સફાઈ કરું છું તું જાણે છે. નિતેશ માછી એકદમ ઉશ્કેરાઈ જઈને અમિતની ફેટ પકડી છાતીના ભાગે એક મુક્કો મારી નીચે પડી દીધો હતો. આમ બંને વચ્ચે ઝગડો થતા એટલામાં સામે થી હસમુખ માછી છરો લઈને દોડી આવી અમિતને છરો માથામાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિતેશ અને હસમુખ બંને અમિતને માર માર્યો હતો. બનાવ અંગે અમિતે નિતેશ અને હસમુખ સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
નજીવી બાબતે હત્યા:કોયારી ગામે 10 રૂપિયા વાપરવા નહીં અપાતાં ગળું દબાવી હત્યા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કોયારી ગામે એક નજીવી બાબતે રોષે ભરાયેલ વ્યક્તિએ બીજાની હત્યા કરી નાખી કારણ હતું, એકે 10 રૂપિયા વાપરવા માગ્યા હતા. બીજા એ ના પાડતા હત્યા ની ઘટના બની તિલકવાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર ના કોયારી ગામના મૂળ વતની અને હાલ ભાદરવા ટેકરા ફળિયામાં રહેતા 41 વર્ષીય રાજેશભાઈ ધનજીભાઈ તડવી સવારે ભાદરવા સ્ટેન્ડ બાજુથી કરીયાણ લઇ ભાદરવા ગામ તરફ આવતા હોય આ સમયે ગામમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ઘમો ગણપત તડવી જે પણ ગામ બાજુ આવતો હોય ગામના ઝાપા પાસે ધર્મેન્દ્ર એ રાજેશભાઈ સાથે ભેગા થઇ જતા રાજેશ પાસેથી ધર્મેન્દ્ર એ વાપરવા માટે રૂપિયા 10 માંગતા રાજેશભાઈ એ આપવાની ના પાડી હતી જેથી ધર્મેન્દ્ર રોસે ભરાઈ ને રાજેશને આર.સી.સી.રોડ પ૨ પાડી દઈ છાતી અને ગળાના ભાગે લાતો મારી ગળાના ભાગે પગ મુકી ગળુ દબાવી દઈ મોત નિપજાવ્યું હતું. જે બાબત ની સ્થાનિકોએ પરિવાર ને જાણ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને ધર્મેન્દ્ર ભાગી ગયો હતો તિલકવાડા પી.આઈ એ.પી.સોલંકી તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ધર્મેન્દ્ર ગણપત તડવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કોર્ટનો ચુકાદો:રાણીપુરામાં પત્નીને સળિયાના ઘા ઝીંકનાર પતિને આજીવન કેદ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુરા ગામે વર્ષ 2024માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં સેસન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરનાર પતિ રામસિંહ પોહ્લ્યા પાડવીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી કાયદાનું ભાન કરાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રામસિંહ પાડવી અને તેની પત્ની અરૂણાબેન વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. 5 જાન્યુઆરી 2024ની રાત્રે પરિવાર જમી પરવારીને ઘરના આંગણે સૂતો હતો. મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે રામસિંહ અચાનક જાગ્યો હતો અને ઊંઘી રહેલી પત્ની પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ થતાં અરૂણાબેન લોહીલુહાણ થઈ ગયા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ કેસ નર્મદા જિલ્લા સેસન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે આકરો ચુકાદો આપ્યો છે. સમાજમાં દાખલો બેસે તે રીતે પત્નીના હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. કેસમાં સરકારી વકીલ વંદના ભટ્ટે કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. તેમણે રજૂ કરેલા મેડિકલ રિપોર્ટ, પંચનામા અને સાક્ષીઓના નિવેદનોના આધારે પુરવાર થયું હતું કે, આરોપી રામસિંહ પોહ્લ્યાભાઈ પાડવીએ 5 જાન્યુઆરી 2024ની રાત્રે પૂર્વઆયોજિત કાવતરા મુજબ ઊંઘી રહેલી પત્નીના માથામાં લોખંડના સળિયાના ઘા ઝીંકી હત્યા કરી હતી.
ગઠિયાઓએ કરી હાથસફાઈ:દેડિયાપાડામાં વેપારીની ચેઇન બે વીંટી લઇને બે ગઠિયા ફરાર
દેડિયાપાડામાં ઘડિયાળની દુકાનમાં ઘુસેલા ગઠિયાઓ દુકાનદારની નજર ચુકવીને એક સોનાની ચેઇન અને બે વીટી લઇને ફરાર થઇ ગયાં હોવાની ઘટના સામે આવી છે. દેડીયાપાડા પટેલ ચાલીમાં રહેતા અને યાહામોગી ચોક પાસે શ્રીજી વોચ નામની ઘડિયાળની દુકાન ચલાવતા હસમુખ પટેલ પાસે બે ગઠિયાઓ ઘડિયાળ ખરીદવાના બહાને મળ્યાં હતાં. બે તારીખે સવારે 11 કલાક ના સમયે દુકાન પર હતા ત્યારે બે અજાણ્યા ઈસમો દુકાનમાં આવી ને નીલકટર માંગવા લાગ્યા. પછી વાત વાતમાં વેપારીને વિશ્વાસમાં લઈ ને તેમણે પહેરેલી ત્રણ તોલાની ચેન અને બે અડધા તોલાની બે વીટીઓ તેમની પાસેથી શરીર પરથી ઉતારાવી દીધી હતી. વેપારીની નજર ચૂકવીને બંને ગઠિયાઓ ચેઇન અને વીટી લઇને ફરાર થઇ ગયાં હતાં. જેની કિમંત 2.38 લાખ રૂપિયા થવા જાય છે. વેપારીએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ટોળકીની મોડસ ઓપરેન્ડી શું હોય છે ? વેપારીઓ અને ખાસ કરીને જ્વેલર્સની નજર ચૂકવીને ચોરી કે છેતરપિંડી કરવા માટે ગઠિયાઓ ખૂબ જ હોશિયારીથી પ્લાનિંગ કરતા હોય છે. ગઠિયાઓ ઘણીવાર જૂથમાં આવે છે અને એકસાથે અલગ-અલગ દાગીના કે વસ્તુઓ જોવાની માંગ કરે છે. વેપારી જ્યારે એક ગ્રાહકને સંભાળવામાં વ્યસ્ત હોય, ત્યારે ટોળકીનો બીજો સભ્ય નજર ચૂકવીને દાગીના ખિસ્સામાં સરીકાવી લે છે.
TP સ્કીમ રદ કરવા આયોગને રજૂઆત:દાનહમાં TP સ્કીમથી આદિવાસીઓની જમીન- ધાર્મિક સ્થળોને જોખમ વધશે
સેલવાસના આમલી-બાવીસા ફળીયા ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને ઓઆઈડીસી વેલુગામ યોજના રદ કરવાની માંગ સાથે પીડિત આદિવાસી પરિવારોએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્ય સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રભુ ટોકીયાના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે આ ગંભીર મુદ્દે રજૂઆત કરી હતી.બેઠક દરમિયાન પ્રભુ ટોકીયા અને અન્ય આગેવાનોએ આ યોજનાઓથી આદિવાસી સમુદાય પર પડનારી પ્રતિકૂળ અસરો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવિત ભૂમિ અધિગ્રહણને કારણે સ્થાનિક આદિવાસીઓની પરંપરાગત જમીન, ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને આજીવિકા જોખમમાં મુકાઈ શકે તેમ છે. આદિવાસી અસ્તિત્વની સુરક્ષા માટે આ યોજનાઓને તાત્કાલિક અસરથી રદ કરવા ભાર પૂર્વક માંગ કરવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળે આયોગના અધ્યક્ષને વિનંતી કરી કે તેઓ દાનહની મુલાકાત લઈ આદિવાસીઓની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરે. આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્યએ મામલાની ગંભીરતા સમજીને આ વિષયમાં યોગ્ય અને જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ મુલાકાતમાં આદિવાસી એકતા પરિષદના ગજાનન બ્રાહ્મણે, વિજય પટેલ, ચેતન પટેલ, અશોક પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ કલાબેન ડેલકરે લોકસભાના સદનમાં પ્રશ્ન ઉઠાવ્યો:દાનહમાં વિકાસ કાર્યોની સાથે પારદર્શીતા અંગે ટકોર
દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોક સભાના સદનમાં આવજ ઉઠાવતા જાનહમાં અગાઉથી ચાલી રહેલ સ્માર્ટ સીટી પરિયોજનાના અધૂરા કાર્યોને પ્રાથમિકતાની સાથે પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ નવી યોજનાને લાગુ કરવા જણાવ્યું હતું સાથે જ તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમને લઇ પ્રદેશના ખેડૂતો,જમીન માલિકો અને સ્થાનિક નિવાસીઓમા ભારે અસંતોષ હોય તેને રદ કરવા જણાવ્યું હતું. સ્માર્ટ સીટી પરિયોજનાઓ અંતર્ગત કેટલાક વિકાસના કામો શરુ કરવામાં આવેલા પરંતુ એમાથી કેટલાક કાર્ય હાલમાં પણ અધૂરા છે.જેનાથી જનતાને અપેક્ષિત સુવિધાઓ નથી મળી રહી. એમણે એ પણ કહ્યુ કે, જ્યા સુધી પહેલા શરુ કરવામાં આવેલા કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી નવી યોજનાઓ શરુ કરવું યોગ્ય નથી કારણકે, એનાથી સરકારી સંસાધનો પર વધુ પડતો ભાર પડે છે અને વિકાસ કાર્ય અધૂરા રહી જાય છે. સ્માર્ટ સીટી યોજનાનો ઉદેશ્ય શહેરમાં આધુનિક સુવિધાઓ, સારા રસ્તાઓ, પાણીની વ્યવસ્થા, પાર્ક, બજાર, ડીજીટલ સેવાઓ અને સારી શહેરી વ્યવસ્થાપન ઉપલબ્ધ કરાવવાની છે.પરંતુ કેટલીક યોજનાઓ હજી પણ અધૂરી જ છે. જેથી એમણે સરકારને આગ્રહ કર્યો છે કે સ્માર્ટ સીટી મિશન અંતર્ગત જે પણ કાર્ય શરુ કરવામાં આવેલા એને સમય પર પૂર્ણ કરવામાં આવે જેથી જનતાને એનો સીધો લાભ મળી શકે અને પ્રદેશનો વાસ્તવિક વિકાસ થઇ શકે. આવનાર સમયમાં એ પણ જોવુ મહત્વપૂર્ણ છે કે પ્રશાસન ટાઉન પ્લાનિંગ સ્કીમ પર શુ નિર્ણય લે છે અને સ્માર્ટ સીટી યોજનાઓના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે કયા પગલા ઉઠાવવામાં આવે છે.

32 C