મોડાસા તાલુકાના શામપુરધામ ખાતે આવેલા આત્મજ્યોત આશ્રમમાં એક અનોખો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને સંત દિલીપરામ મહારાજ, તેમના પરિવાર અને દાતાઓ દ્વારા માતા-પિતાનો સ્નેહ આપી પ્રથમ નિઃશુલ્ક સામૂહિક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં દાતાઓ, સંતઓ, સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં દીકરીઓના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. લગ્નવિધિ દરમિયાન દરેક દીકરીને માતા-પિતાના સ્નેહ સાથે કન્યાદાન આપવામાં આવ્યું હતું. વિદાય સમયે દીકરીઓ અને ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ હતી. આ પ્રસંગે સમાજને એક સુંદર સંદેશ મળ્યો કે સૌ સાથે મળીને અનાથ દીકરીઓને પરિવાર અને સ્નેહનો અહેસાસ કરાવી શકે છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર, સંત ધનગીરી મહારાજ, મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, બાલકદાસજી મહારાજ અને સામાજિક કાર્યકર નિલેશ જોષી સહિત અનેક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને તેમને ઘરવખરીની અંદાજે ૭૫ જેટલી વસ્તુઓ ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી. આત્મજ્યોત આશ્રમ દ્વારા આ દીકરીઓના માતા-પિતા બની કન્યાદાન કરવામાં આવ્યું, જે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક કાર્ય બની રહ્યું છે.આ સમગ્ર પ્રસંગે સેવા, સંસ્કાર અને માનવતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે સંત દિલીપરામ મહારાજ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આગામી 25 એપ્રિલ 'વિશ્વ મેલેરિયા દિવસ' નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે વિશેષ ઝુંબેશ છેડવામાં આવી છે. કાળઝાળ ગરમી અને વાહકજન્ય રોગોના બેવડા જોખમ વચ્ચે તંત્ર દ્વારા બાંધકામ સાઇટ્સ અને લેબર કોલોનીઓમાં રાત્રિના સમયે સઘન તપાસ અને જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. શ્રમિકોના દ્વારે આરોગ્ય તપાસશ્રમિકો દિવસ દરમિયાન કામમાં વ્યસ્ત હોવાથી મનપાની ટીમોએ રાત્રિના સમયની પસંદગી કરી છે. સેક્ટર-3 થી 29, વાવોલ અને સરગાસણ સહિતના વિસ્તારોમાં રાત્રિ ફિવર સર્વે કરવામાં આવ્યો. શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના લોહીના નમૂના (બ્લડ સેમ્પલ) સ્થળ પર જ એકત્ર કરવામાં આવ્યા છે. હીટવેવ અને હીટસ્ટ્રોક સામે રક્ષણહાલમાં વધી રહેલા તાપમાનને જોતા ખુલ્લામાં કામ કરતા શ્રમિકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. શ્રમિકોને પુષ્કળ પાણી પીવા, માથું ઢાંકીને રાખવા અને બપોરના સમયે સીધા તડકામાં કામ કરવાનું ટાળવા જણાવાયું છે. તંત્ર દ્વારા સ્થળ પર જ ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ) ના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે જેથી ડિહાઈડ્રેશનની સ્થિતિને નિવારી શકાય. મેલેરિયા-ડેન્ગ્યુ પર નિયંત્રણચોમાસા પૂર્વે મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે બાંધકામ સાઇટ્સ પર વિશેષ સૂચનાઓ અપાઈ છે. બાંધકામ સાઇટ પર રહેલા પાણીના પીપ, ટાંકા અને અન્ય પાત્રોને ઢાંકીને રાખવા તાકીદ કરવામાં આવી છે. સ્થગિત પાણીમાં મચ્છરોના ઈંડા ન મુકાય તે માટે સફાઈ બાબતે શ્રમિકોને જાગૃત કરાયા છે. જનજાગૃતિ અભિયાનમનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ બેનરો અને પત્રિકાઓ દ્વારા આ જનજાગૃતિ અભિયાન ચાલુ રહેશે. ગરમી અને રોગચાળાના પડકાર વચ્ચે શહેરીજનો અને ખાસ કરીને શ્રમિક વર્ગની સુખાકારી જળવાઈ રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે.
દ્વારકાધીશ મંદિરની આવક પાંચ વર્ષમાં ₹101 કરોડ પાર:2023-24માં ₹23.78 કરોડ સાથે સર્વોચ્ચ આવક નોંધાઈ
શ્રી દ્વારકાધીશ મંદિરની છેલ્લા પાંચ નાણાકીય વર્ષની આવકના આંકડાઓ જાહેર થયા છે, જે દર્શાવે છે કે મંદિરની કુલ આવક ₹101 કરોડથી વધુ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, વર્ષ 2023-24માં ₹23.78 કરોડની આવક સાથે સર્વોચ્ચ આંકડો નોંધાયો છે, જે મંદિરના નાણાકીય વ્યાપમાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. 22 એપ્રિલ, 2026ના રોજ ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, વર્ષ 2021-22માં મંદિરની કુલ આવક ₹13,76,29,414 હતી. ત્યારબાદ, વર્ષ 2022-23માં તે વધીને ₹19,79,17,316 થઈ. વર્ષ 2023-24માં આવક ₹23,78,24,800 સુધી પહોંચી, જે પાંચ વર્ષમાં સૌથી વધુ હતી. વર્ષ 2024-25માં ₹21,92,18,038 અને વર્ષ 2025-26માં ₹22,04,83,290ની આવક નોંધાઈ. આ પાંચ વર્ષની કુલ આવક આશરે ₹1,01,30,72,858 છે. આવક સાથે સંકળાયેલા અન્ય બે મુખ્ય માપદંડોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. 2% ચેરિટી કોન્ટ્રિબ્યુશન વર્ષ 2021-22માં ₹27,52,588 હતું, જે વર્ષ 2025-26માં વધીને ₹44,09,659 થયું છે. તેવી જ રીતે, 15% ટ્રસ્ટ ઇન્કમ વર્ષ 2021-22માં ₹2,02,31,524 હતી, જે વર્ષ 2025-26માં ₹3,24,11,050 સુધી પહોંચી છે. વર્ષ 2023-24માં ટ્રસ્ટ ઇન્કમ ₹3,49,60,246 સુધી પહોંચી હતી, જે પાંચ વર્ષનો સૌથી મોટો ટ્રસ્ટ હિસ્સો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિહારમાં થયેલી હત્યાના આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ તેના સાગરીતો સાથે મળીને એક વ્યક્તિની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી બિહારથી નાસીને અમદાવાદ આવી ગયો હતો. આરોપી અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતો. આરોપીએ પૂછપરછમાં હત્યાની કબૂલાત કરી હતીક્રાઈમ બ્રાન્ચના PI નિખિલ બ્રહ્મભટ્ટની ટીમને બાતમી મળી હતી કે, બિહારમાં દિલીપ કુમાર સિંહની ગળું કાપી નિર્દયી હત્યા કરનાર નજરે આલમ મોહમ્મદ નજબુલ (26) હાલ અમદાવાદમાં ફરી રહ્યો છે. તેની વિગતોની ખાતરી કરીને નિખિલ બ્રહ્મભટ્ટની ટીમે આરોપીને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન તેણે દિલીપ કુમારની હત્યાની કબૂલાત કરી હતી. પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતોઆરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે હત્યા કરીને બિહારથી ભાગીને અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદના પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતો. હાલ તેને બિહાર પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા ક્રાઈમ બ્રાન્ચે નેપાળના વોન્ટેડ આરોપીને ઝડપી લઈને નેપાળ પોલીસને હવાલે કર્યો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 42 બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હાલ બેવડા મોરચે લડી રહ્યું છે. એક તરફ 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' દ્વારા સાયબર માફિયાઓ પર ત્રાટકીને કરોડોના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0થી ₹288 કરોડનું સાયબર નેટવર્ક ધ્વસ્તસાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સુરત, ભાવનગર, રાજકોટ અને ઉંઝામાં દરોડા પાડીને સાયબર ગુનાખોરીના મોટા નેટવર્કનો ખુલાસો કરવામાં આવ્યો છે. તાજેતરની રેઇડમાં 8 આરોપીઓ અને છેલ્લા એક મહિનામાં કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 1,039 ફરિયાદોના આધારે કુલ ₹622 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ થયો છે. જેમાં મ્યુલ એકાઉન્ટ્સ (ભાડે રાખેલા બેંક ખાતા) દ્વારા નાણાંની હેરફેર થતી હતી. વિસ્તાર મુજબ કાર્યવાહી આરોપીઓ ઠગાઈના નાણાં બેંક ખાતામાં મેળવી, તેને રોકડમાં ફેરવી આંગડિયા મારફતે હવાલા રૂપે સગેવગે કરવામાં આવતા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થાનો એક્શન પ્લાનચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસે વ્યાપક સુરક્ષા આયોજન કર્યું છે. 60,000 થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને GRD જવાનો તૈનાત રહેશે. મતદાન મથકોનું વર્ગીકરણ ચૂંટણી પૂર્વે 1,000 થી વધુ તડીપાર, વોરન્ટી અને ભાગેડુ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાલચમાં બેંક ખાતાની વિગતો કે OTP કોઈને ન આપવોડીજીપી ડો. કે. એલ. એન. રાવે સ્પષ્ટ જણાવ્યું છે કે, સાયબર ગેંગોને નાબૂદ કરવા અને ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ મક્કમ છે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની વિગતો કે OTP કોઈને ન આપવો. સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક હેલ્પલાઇનનો સંપર્ક કરવો. શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે મતદાન પ્રક્રિયામાં સહકાર આપવો.
ડિજિટલ યુગમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી પાંગરતા પ્રેમમાં છેતરાવાની વધુ એક ઘટના સુરતના પુણા વિસ્તારમાં સામે આવી છે. 'ફ્રી ફાયર' ગેમ રમતા કેરળના એક 19 વર્ષીય વિધર્મી યુવકના સંપર્કમાં આવેલી યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવ્યા બાદ યુવકે હાથ અધ્ધર કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ફ્રી ફાયર ગેમ અને સોશિયલ મીડિયાથી થઈ મિત્રતામૂળ સુરતના પુણા વિસ્તારની અને અભ્યાસ અર્થે કેરળમાં રહેતી 19 વર્ષીય યુવતીને મોબાઈલમાં ગેમ રમવાનો શોખ હતો. અંદાજે એક વર્ષ પહેલા 'ફ્રી ફાયર' ગેમ રમતી વખતે તેની મુલાકાત 'એસ્ટ્રો' આઈડી ધરાવતા યુવક સાથે થઈ હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 'TENET-ASTRO' નામની આઈડીથી સંપર્ક વધારી યુવકે યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને દગાખોરીયુવતી જ્યારે કેરળમાં હતી, ત્યારે યુવકે તેને મળવા બોલાવી હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. યુવકની ઓળખ હિશામ મુનીર અબ્દુલ મુનીર (રહે. પલ્કાડ, કેરળ) તરીકે થઈ હતી. તેણે લગ્નનું વચન આપી યુવતી સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા. ફેબ્રુઆરી-2026 સુધી સંબંધો રહ્યા બાદ માર્ચ-2026માં યુવતી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. હિશામ મુનીરે લગ્નનો ઇનકાર કરી યુવતી પર ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. સુરત લાવીને યુવક ભાગી છૂટ્યોયુવતી લગ્ન માટે મક્કમ રહેતા ગત 7 એપ્રિલ 2026ના રોજ હિશામ તેને સુરત લઈ આવ્યો હતો. પુણાની યોગેશ્વર સોસાયટીમાં યુવતીના ઘરે થોડા દિવસ રહ્યા બાદ તે લગ્ન કરવાની ના પાડીને ભાગી છૂટ્યો હતો. અંતે છેતરાયેલી યુવતીએ માતા સાથે પુણા પોલીસ સ્ટેશન પહોંચી હિશામ મુનીર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેંચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓની જરૂર પડતા અપીલકર્તાઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાનો પ્રસ્તાવ હાઇકોર્ટની ડબલ જજની બેંચ સમક્ષ મૂક્યો હતો, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને વધુ સુનાવણી 9 જૂને રાખવામાં આવી છે. ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત રહેશે. રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યોવડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટમાં લંબાણપૂર્વ સુનાવણી બાદ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCA ની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતો. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના નિર્ણયો લઈ શકશે નહીંજો કે સિંગલ જજ દ્વારા રિસ્પોન્ડન્ટની વિનંતી ઉપર વચગાળાની વ્યવસ્થા વધારવામા આવી હતી. જે મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડે ના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકશે નહીં. BCAની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતીમૂળ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022 ના ચુકાદા મુજબ 09 વર્ષ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 03 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતીજેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી. ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કાર્યરતબરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબુ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારીએ અવગણ્યાગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારીએ અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે.
આણંદ ટાઉન પોલીસે સોનાના દાગીના પર લોન અપાવવાના બહાને અને કારના વેચાણ પેટે કુલ ₹8.50 લાખની છેતરપિંડી આચરનાર મિતુલ રાજેશભાઈ પઢીયારની ધરપકડ કરી છે. આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદી નિરવ અમૃતલાલ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મિતુલ પઢીયારે તેમને વિશ્વાસમાં લઈ 7 તોલા સોનાના દાગીના (આશરે ₹6 લાખની કિંમત) પર ₹4 લાખનું ધિરાણ અપાવ્યું હતું. ત્યારબાદ, આ ₹4 લાખ પરત મેળવી દાગીના છોડાવી આપવાના બહાને વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત, આરોપીએ ફરિયાદીની કાર ₹3.50 લાખમાં વેચાણથી રાખી હતી. તેણે રોકડા ₹1 લાખ આપ્યા હતા, પરંતુ બાકીના ₹2.50 લાખ પરત ન આપી છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી મિતુલ પઢીયાર રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અગાઉ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઈ ધરપકડ થઈ હતી. આ ઉપરાંત, રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના રામસર પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારના એક આશાસ્પદ યુવાન અને માતા-પિતાના એકમાત્ર સંતાન જેસલ મેસુરિયાનું માર્ગ અકસ્માતમાં નિધન થતા અરેરાટી વ્યાપી ગઈ છે. પુત્રના આકસ્મિક મૃત્યુના આઘાત વચ્ચે પણ મેસુરિયા પરિવારે જેસલના ચક્ષુઓનું દાન કરવાનો ઉમદા નિર્ણય લઈને સમાજ સામે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોલેજ ફંક્શનથી પરત ફરતા નડ્યો અકસ્માતકે.પી. કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો જેસલ ભાવિન મેસુરિયા કોલેજના ફંક્શનમાંથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન શહેરના સધ્ધર બ્રિજ પર જેસલની બાઈક અચાનક સ્લિપ થઈ હતી. નિયંત્રણ ગુમાવતા જેસલ બ્રિજ પરના પથ્થરના ડિવાઈડર સાથે જોરદાર ટકરાયો હતો, જેના કારણે તેને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. તંત્રની બેદરકારી સામે આક્રોશસામાજિક કાર્યકર્તા છોટુભાઈ પટેલે સધ્ધર બ્રિજ પરના પથ્થરના ડિવાઈડરની ડિઝાઇન સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે જો અહીં પથ્થરને બદલે ફાઈબરના ડિવાઈડર હોત તો અકસ્માતની તીવ્રતા ઓછી હોત અને કદાચ આ તેજસ્વી યુવાનનો જીવ બચી શક્યો હોત. રસ્તાની આવી ખામીઓ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ભારે હૈયે ચક્ષુદાનનો ઉમદા નિર્ણયએકનો એક પુત્ર ગુમાવનાર પરિવારે શોકના સાગરમાં ડૂબેલા હોવા છતાં સામાજિક જવાબદારી ભૂલ્યા નથી. પરિવારે શરૂઆતમાં અંગદાન માટે તત્પરતા બતાવી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તે શક્ય ન બનતા ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હતો. જેસલના ચક્ષુદાનને કારણે બે અંધ વ્યક્તિઓના જીવનમાં અંધકાર દૂર થશે. પરિવારનું માનવું છે કે કોઈ અન્યની આંખો દ્વારા જેસલ આ દુનિયામાં જીવંત રહેશે.
ડીસામાં 13 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો:પાંચ આરોપી ઝડપાયા, રૂ. 30 લાખનો મુદ્દામાલ રિકવર
બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે થયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાંચ આરોપીઓની અટકાયત કરી છે અને લૂંટાયેલો રૂ. 30 લાખ 36 હજાર 529નો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના ડીસા-ધાનેરા હાઈવે પર આવેલા ટેટોડા ગામ નજીક બની હતી. અમદાવાદની એક ચાંદીની હોલસેલ દુકાનના કર્મચારીઓ ગાડીમાં આશરે 13 કિલો 326 ગ્રામ ચાંદી લઈને આવી રહ્યા હતા. તે સમયે અન્ય ગાડીમાં આવેલા લૂંટારુઓએ તેમની ગાડી રોકી હતી. લૂંટારુઓએ ગાડીમાંથી 13 કિલો 326 ગ્રામ ચાંદી અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી. તેમણે કર્મચારીઓને લાકડીઓ સહિતના હથિયારોથી લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ 112 નંબર પર અને LCB અધિકારીઓને કરવામાં આવી હતી. માહિતી મળતા જ LCB દ્વારા તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે લૂંટમાં વપરાયેલી અલ્ટો ગાડીને ઓળખી કાઢવામાં આવી અને તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. લગભગ એક-બે કલાકની અંદર જ LCB ટીમે ડીસા રૂરલની હદમાં લૂંટારુઓની ગાડીને પ્રાઈવેટ ગાડી વડે બ્લોક કરી હતી. લૂંટારુઓએ પોલીસની ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને રોકી ચાર મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા. આ લૂંટમાં મેક્સિમમ એન્ટરપ્રાઈઝિસ નામની દુકાનનો પૂર્વ કર્મચારી ભરત રબારી પણ સામેલ હતો, જેણે 15 દિવસ પહેલા જ નોકરી છોડી હતી અને આરોપીઓને ચાંદી લઈ જવાની માહિતી આપી હતી. તેને પણ પકડી પાડવામાં આવ્યો છે. લૂંટમાં સામેલ અન્ય ચાર મુખ્ય આરોપીઓમાં સકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, દિલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ લૂંટનું સંકલન કરનાર દેવા રબારી નામનો એક આરોપી હાલ વોન્ટેડ છે. પોલીસે લૂંટાયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદી સહિતનો તમામ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. LCB ની ત્વરિત અને કુશળ કાર્યવાહીને કારણે આ ગુનાનો ભેદ ઝડપથી ઉકેલી શકાયો.
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડાની સૂચના મુજબ, લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે ખાસ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમોએ બે સફળ ઓપરેશન હાથ ધરીને વર્ષોથી વોન્ટેડ એવા બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે તમામ પોલીસ સ્ટેશનોને મળેલી કડક સૂચનાના અમલીકરણ માટે બી-ડિવિઝન પોલીસની ટીમ સતત કાર્યરત હતી. પોલીસ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વર્ષ 2023 થી જુગારના ગુનામાં વોન્ટેડ એક આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે.આરોપી એહમદ અનિશભાઈ મારફતીયા જૂનાગઢના તળાવ દરવાજા પાસે ઊભો હોવાની માહિતી મળતા જ પોલીસે ઓપરેશન પાર પાડી 37 વર્ષીય આરોપીને દબોચી લીધો હતો. આ આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસથી બચવા ગુપ્ત રીતે વસવાટ કરતો હતો. હાલ તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, જૂનાગઢ પોલીસની ટીમે ગાંધીનગર સુધી લંબાઈને એક જટિલ ઓપરેશન સફળ બનાવ્યું છે. બાંટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનાનો આરોપી છેલ્લા ૪ વર્ષથી ફરાર હતો. આ આરોપી વિરુદ્ધ અદાલતે સી.આર.પી.સી. કલમ-70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું.ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી રાજકુમાર ભાણજીભાઈ પારધી (રહે. બુરી ગામ, તા. માણાવદર) હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઈડીસી પાસે આવેલા એક કારખાનામાં મજૂરી કરીને છુપાયો છે. પોલીસે તાત્કાલિક દહેગામ પહોંચી દરોડો પાડ્યો હતો અને આરોપીને ભોગ બનનાર સાથે હસ્તગત કર્યો હતો. હાલમાં આ કેસની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવી છે. જૂનાગઢ પોલીસની આ ડબલ સફળતાએ ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસ વડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે અને કોઈ પણ નાસતો-ફરતો આરોપી બચી શકશે નહીં. પોલીસની આ આક્રમક કામગીરીને પગલે શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પોલીસની રેડ:19 હજારથી વધુના ઇંગ્લિશ દારૂ સાથે શખસ ફરાર
ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પોલીસ દ્વારા બાતમીના આધારે કરવામાં આવેલી એક દરોડાની કાર્યવાહીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. શું હતો સમગ્ર મામલો?ઘોઘારોડ પોલીસ મથકના જવાનો ગત રોજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘા જકાતનાકા પાસે આવેલી અખિલેશ સોસાયટીના પ્લોટ નંબર-1માં રહેતા રાહુલ ભુપત જેઠવા નામના શખ્સે પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે. પોલીસની રેડ અને જપ્તીઆ બાતમીને આધારે ઘોઘારોડ પોલીસની ટીમે અખિલેશ સોસાયટીમાં આવેલા રાહુલ જેઠવાના મકાન પર ત્વરિત દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન રાહુલ ઘરે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ઘરની પાછળ આવેલા વાડાની ઝીણવટભરી તપાસ કરતા ત્યાંથી ઇંગ્લિશ દારૂના 102 નંગ ચપટા મળી આવ્યા હતા. પોલીસે 19,380 રૂપિયાની કિંમતનો દારૂનો આ જથ્થો કબજે કર્યો હતો. દારૂ ઝડપાયા બાદ પોલીસે ફરાર આરોપી રાહુલ ભુપતભાઇ જેઠવા વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં 'પ્રોહિબિશન એક્ટ' હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત હાઇકોર્ટમાં પણ રાજકીય દાવપેચને લગતી અરજીઓ આવી રહી છે. જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા તેમજ હરદેવસિંહ દ્વારા પોતાના સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી સમયમાં રાખી છે. જો કે હાઇકોર્ટે બંને અરજદારોને રાહત આપતા તેમની સામે કોઈ નકારાત્મક પગલાં નહીં લેવા માટે હુકમ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ સહિત આરોપી દ્વારા ફરિયાદીના ભાઈનું અપહરણઆ કેસને વિગતે જોતા ફરિયાદી શૈલેષભાઈ દ્વારા તેમના ભાઈ ભરતની અપહરણની પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની વડવા-અ સીટ ઉપર ઉમેદવારીની ટિકિટ મળી હતી. જો કે ફરિયાદીની ફરિયાદ મુજબ તેમના ભાઈ આ ચૂંટણી લડવા માંગતા નહોતા. તેમ છતાં જબરજસ્તીથી કોંગ્રેસ તેમની પાસેથી ચૂંટણી લડાવવા માંગતું હતું. જબરદસ્તીથી તેમના દસ્તાવેજો મેળવી લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આરોપીએ તેનું અપહરણ કરી લીધું હતું. આરોપીઓની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજીઉપરોક્ત સઘળી હકીકત ફરિયાદીને ઉમેદવાર ભરતના મિત્રએ જણાવી હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી આરોપીઓએ ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ફરિયાદીના ભાઈ એટલે કે ખુદ ઉમેદવાર, જેના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તેને એફિડેવિટ ફાઇલ કરી હતી કે ફરિયાદમાં જણાવ્યા મુજબની તેમનું કોઈ અપહરણ થયું નથી. પરંતુ 15, એપ્રિલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી મોટાપાયે હોર્સ ટ્રેડિંગની આશંકા હોવાથી ઉમેદવારોને અમરેલી ખસેડવામાં આવ્યા હતા. તેઓ પણ પોતાની મરજીથી ત્યાં ગયા હતા અને તે સંદર્ભે સોશિયલ મીડિયામાં વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીઅરજદારો જણાવ્યું હતું કે, ફક્ત દબાણ ઊભું કરવા માટે ઉપરોક્ત પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી ઓગસ્ટ મહિનામાં રાખી છે અને અરજદારો સામે નકારાત્મક પગલાં નહીં લેવા માટે આદેશ કર્યો છે. આ સંદર્ભે કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ ટ્વીટ કરીને ન્યાયતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સહિત 7 લોકો સામે ફરિયાદવળી બીજી એક અરજીમાં વડોદરાની ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પણ પરત ખેંચી લીધું છે. તેઓએ કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સહિત કુલ 7 લોકો સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જાતિ વિષયક ગાળો અને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને સાતેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. જો કે ગુનાની ગંભીરતાને જોતા હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી સુનાવણી આગામી સમયમાં રાખી છે, પરંતુ અરજદારોને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. ફરિયાદીએ આપમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુંઉલ્લેખનીય છે કે, ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એટ્રોસિટી અને ધમકીના આક્ષેપોમાં આરોપી અરજદારો વતી રજૂઆત કરાઈ છે. ફરિયાદીએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. તેને અને કોંગ્રેસ પક્ષને કોઈ લેવાદેવા પણ નથી. ખરેખર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર તોડવાનો આક્ષેપ ધારાસભ્ય શૈલેશ ઉપર કોંગ્રેસ પક્ષે મૂક્યો છે. પરંતુ તેમની ફરિયાદ નોંધવાની જગ્યાએ તાલુકા પંચાયતથી ફક્ત 200 મીટર દૂર આવેલા પોલીસ મથકે આમ આદમી પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં પણ 6 કલાક જેટલો સમય લાગ્યો છે. ઘટના સંદર્ભના CCTV હાઇકોર્ટમાં મૂકવામાં આવ્યાજોકે સરકારી વગેરે જણાવ્યું હતું કે આ એક વ્યક્તિગત ફરિયાદ છે. ઘટના સંદર્ભમાં CCTV ફૂટેજ હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જેમા અરજદારો ટોળામાં સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. સરકારી વકીલની દલીલ મુજબ વ્યક્તિગત ફરિયાદને રાજકારણથી ઉપર જોઈને તેમાં તપાસની જરૂર છે. ત્યારે અરજદારોને રાહત આપી શકાય નહીં. જેનું સમર્થન ગુજરાત હાઇકોર્ટે કરતા તેમને રાહત આપી નથી. સરપંચ સહિત બે આરોપીઓ ઉપર માર મારવાની ફરિયાદવધુ એક અરજી દાહોદથી આવી હતી. જેના કાલીમહુડી ગામના સરપંચ સહિત બે આરોપીઓ ઉપર માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. તેઓને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા હતા. જો કે સેશન્સ કોર્ટે તેમને કાલીમહુડી ગામમાં પ્રવેશ નહી કરવાની શરતે જામીન આપ્યા હતા. કારણ કે ફરિયાદી પણ તે જ ગામનો રહેવાસી હતો. અરજદાર આરોપી પૈકી એક સરપંચ હોવાથી તેની પંચાયત કાર્યમાં જરૂર હોવાથી તેને ગ્રામ પ્રવેશ કરવાની શરતમાં છૂટ આપવા તેને સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં અરજી ફાઇલ કરી હતી. જેને પણ નકારી નાખવામાં આવી છે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા માટે તેને મતદાનના દિવસે ત્રણ કલાક ગ્રામ પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજકોમાસોલ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કુદરતી ખનિજ તત્વોમાંથી બનેલા વિવિધ કુદરતી ખાતરો સહિતના પ્રોડક્ટ્સ હવે ગુજરાતના ખેડૂતોને ઉપલબ્ધ કરાવવા માટે જોર્ડનની પ્રખ્યાત મનસિર નેચરલ ગ્રીન (MNG) કંપની સાથે MoU કરવામાં આવ્યો છે. આ સાથે દેશભરમાં પ્રથમ વખત આ પ્રકારના પ્રોડક્ટ્સને વ્યાપક પ્રમાણમાં પહોંચાડવાનો માર્ગ મોકળો થયો છે. લેબોરેટરીમાં વિવિધ ઋતુઓમાં વૈજ્ઞાનિક ટ્રાયલ્સ કરવામાં આવ્યા હતાતા. 3-4-2025ના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે આયોજિત ખેડૂત સેમિનાર-સંમેલનમાં આ પ્રોડક્ટ્સનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ, વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આ નવી ટેક્નોલોજી પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો હતો. પ્રોડક્ટ્સ અંગે ખેડૂતોમાં રહેલી શંકાઓ દૂર કરવા માટે કૃષિ યુનિવર્સિટી તથા અન્ય લેબોરેટરીમાં વિવિધ ઋતુઓમાં વૈજ્ઞાનિક ટ્રાયલ્સ કરવામાં આવ્યા હતા. ટ્રાયલના સકારાત્મક પરિણામો મળ્યા બાદ આ પ્રોડક્ટ ખેતી માટે ઉપયોગી હોવાનું સાબિત થયું છે. આ રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સુપ્રત કરવામાં આવ્યો હતો. લેબોરેટરીમાંથી માન્યતા બાદ જ પ્રોડક્ટને અમલી બનાવવાનો નિર્ણયગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, આજના સમયમાં કેમિકલ ખાતરોના વધતા ઉપયોગને કારણે દેશ અને દુનિયામાં વિવિધ રોગોમાં વધારો થયો છે, જેના કારણે પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટની માંગ ઝડપથી વધી રહી છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર અને ઉત્પાદન વધારવા માટે સરકાર તથા સંસ્થાઓ સતત પ્રયાસ કરી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે આ પહેલ મહત્વપૂર્ણ વધુમાં જણાવ્યું કે, જોર્ડનની MNG કંપની દ્વારા બનાવવામાં આવેલ આ પ્રોડક્ટ સંપૂર્ણ કુદરતી છે તેની ખાતરી કરવા માટે ખેડૂતોની હાજરીમાં પ્રયોગ કરવામાં આવ્યા હતા. ભારતની લેબોરેટરીમાંથી માન્યતા મળ્યા બાદ જ આ પ્રોડક્ટને અમલી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ MoU દ્વારા હવે ગુજકોમાસોલ ખેડૂતોને ઓછા ખર્ચે કુદરતી ખાતર ઉપલબ્ધ કરાવશે, જેના કારણે જમીનની ઉર્વરાશક્તિમાં વધારો થશે, ઉત્પાદન ખર્ચ ઘટશે અને પર્યાવરણનું સંરક્ષણ પણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યના અગ્રણીઓ, કૃષિ નિષ્ણાતો તથા MNG કંપનીના પ્રતિનિધિઓએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં સ્વચ્છતાની વ્યવસ્થાને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાન વાહનોની નિયમિત દેખરેખ અને જાળવણી માટે 20 એપ્રિલ, 2026ના રોજ એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત વાહનોના “હેલ્થ ચેક-અપ” દ્વારા તેમની કામગીરી વધુ અસરકારક બને તે માટે પગલાં લેવામાં આવ્યા હતા. ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાનોનું હેલ્થ ચેકઅપ કરાયું હતુંઆ અનુસંધાને આ અભિયાનની શરૂઆત AMCના સેન્ટ્રલ ઝોન (મધ્ય ઝોન) ખાતેથી કરવામાં આવી છે. જે આગામી સમયમાં શહેરના તમામ સાત ઝોનમાં કરવામાં આવશે. મધ્ય ઝોનમાં આવેલ વાન પાર્કિંગમાં ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાનોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં વાહનોની સંપૂર્ણ સફાઈ, રંગ-રોગાન, લુહારી કામ, ટાયરોમાં હવા ચેક, પીયુસી ચેક, એન્જિન ચેક, ઓઇલ ચેક, ફિલ્ટર ચેક સહિતની કામગીરીઓ સાથે માસિક સર્વિસિંગ કરવામાં આવ્યું હતું. તમામ ઝોનમાં વાહનોનું હેલ્થ ચેકઅપનું અભિયાન કાર્યરતટેન્ડર સ્પેસિફિકેશનના આધારે ડોર-ટુ-ડોર કલેકશનની આ વાનોના સર્વિસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેન્ટ્રલ ઝોનમાં આવેલી કલેકશનના વાહનો કાર્યરત છે, જેનું હાલ હેલ્થ ચેક-અપ પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં શહેરના તમામ ઝોનના વાહનોનું હેલ્થ ચેક અપ કરી આ અભિયાનને કાર્યરત કરવામાં આવશે. આ પહેલ દ્વારા વાહનોની કાર્યક્ષમતા જાળવવામાં મદદ મળશે તેમજ શહેરમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં સહાય મળશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતા મુસાફરો માટે આગામી દિવસોમાં મુસાફરીના આયોજન પૂર્વે આ સમાચાર વાંચવા અત્યંત મહત્વના છે. રેલવે તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય ડિવિઝનમાં ચાલી રહેલી ટેકનિકલ કામગીરીને પગલે રાજકોટ ડિવિઝન સાથે સંકળાયેલી મહત્વની ટ્રેનો પર અસર પડી છે. મુખ્યત્વે ઓખા-ગુવાહાટી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝન હેઠળ આવતા નેઉરા–જટ ડુમરી સેક્શનમાં હાલ નોન-ઇન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. આ ટેકનિકલ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનના માર્ગમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી રવાના થનારી ટ્રેન સંખ્યા 15635 (ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ) તેના નિયત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ પરથી ચલાવવામાં આવશે. આ ટ્રેન હવે પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન–ગયા જહાનાબાદ–પટના થઈને ગંતવ્ય સ્થાને પહોંચશે. ખાસ નોંધનીય છે કે, આ રૂટ પરિવર્તનને કારણે આ ટ્રેન બક્સર સ્ટેશન પર જશે નહીં. જે મુસાફરોએ બક્સરથી મુસાફરી કરવાનું આયોજન કર્યું હોય તેમણે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ પશ્ચિમ રેલવે દ્વારા માળખાગત વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ નિર્માણ કાર્ય માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે, જેની સીધી અસર રાજકોટ અને જામનગરના મુસાફરો પર પડશે. આ કામગીરીને કારણે વડોદરા અને જામનગર વચ્ચે દોડતી લોકપ્રિય ઇન્ટરસિટી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલી ઇન્ટરસિટી ટ્રેનોની વિગત 1. ટ્રેન નંબર 22959 (વડોદરા–જામનગર ઇન્ટરસિટી): આ ટ્રેન 23 એપ્રિલ, 2026ના રોજ રદ કરવામાં આવી છે. 2. ટ્રેન નંબર 22960 (જામનગર–વડોદરા ઇન્ટરસિટી): આ ટ્રેન 24 એપ્રિલ, 2026ના રોજ રદ રહેશે. ઉલ્લેખનીય છે કે, બંને ટ્રેનો રદ થવાને કારણે વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે અપ-ડાઉન કરતા અનેક મુસાફરો તેમજ વેપારી વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનોના સમય અને રૂટ અંગેની ખાતરી કરે, હાલ રેલવે તંત્ર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી અનિવાર્ય હોવાથી મુસાફરોએ સહકાર આપવો જરૂરી છે. ટ્રેનોના સ્ટોપેજ સહિતના ફેરફારો અને નવીનતમ સમયપત્રક જાણવા માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે અથવા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) એપનો ઉપયોગ કરી શકે છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સરકારી પ્રાથમિક શાળાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 'સક્ષમ શાળા કાર્યક્રમ' અંતર્ગત શાળાએ સ્વચ્છતા, હરિયાળી, પાણીની સુવિધા, બાળકોનું આરોગ્ય, સલામતી અને વર્તન પરિવર્તન જેવી બાબતોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાને 'સક્ષમ શાળા કાર્યક્રમ' હેઠળ 'ઇન્ક્લુઝન' સબ-કેટેગરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ ઉપરાંત, 'બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ' સબ-કેટેગરીમાં તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ ગીર સોમનાથના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મંડોર સરકારી પ્રાથમિક શાળાને શિલ્ડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પરબતભાઈ બારડ દ્વારા આ સિદ્ધિ બદલ સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંડોર સરકારી પ્રાથમિક શાળા દર વર્ષે તેની ઉત્કૃષ્ટ કામગીરી માટે સરકાર દ્વારા વિવિધ મંચ પરથી નોંધ લેવાય છે. તાજેતરમાં જ આચાર્ય પરબતભાઈ બારડને તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર મળ્યો છે. વધુમાં, SIR રાષ્ટ્રીય કામગીરીમાં વેરાવળ તાલુકામાં સૌપ્રથમ કામગીરી પૂર્ણ કરવા બદલ આચાર્ય પરબતભાઈ બારડ અને શિક્ષક વિજયભાઈ વાળા બંનેને પ્રાંત અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના અનેક વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. NMMS, જવાહર નવોદય અને અનેક શિષ્યવૃત્તિ તેમજ વિશેષ કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે નોંધનીય સ્થાન પ્રાપ્ત કરે છે. તાજેતરમાં જ NMMS પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી ભાલિયા મોઈન મયુદીનભાઈએ મેરિટમાં ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. શાળામાં વિશાળ, સુંદર અને સુઘડ વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ, બાળકોના રમતગમત માટે વિશાળ મેદાન અને સાધનો, સુંદર બગીચો, પુસ્તકાલય, કમ્પ્યુટર લેબ, CCTV, મધ્યાહન ભોજન, અનેક શિષ્યવૃત્તિઓ અને સરકારી યોજનાઓના લાભ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ મોટા શહેરની ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી હોવાથી, મંડોર સરકારી શાળાની ખ્યાતિ આસપાસના વિસ્તારમાં પ્રસરેલી છે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ અહીં આકર્ષાય છે.
કેદારનાથના કપાટ ખુલ્યાના પહેલા જ દિવસે વડોદરાથી આવેલા એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મૃત્યુ બાદ મૃતદેહને નીચે લઈ જવા માટે પણ પરિવારજનોને કલાકો સુધી ભટકવું પડ્યું. મૃતકના પુત્રએ પ્રશાસન અને મેડિકલ ટીમ પર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. વડોદરાથી ટૂર ઓપરેટર હેમંતભાઈ (ત્રિમૂર્તિ ટૂર્સ એન્ડ એડવેન્ચર્સ) પોતાના માતા-પિતા સાથે દર્શન કરવા આવ્યા હતા. તેમણે કહ્યું- પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ પડી ગયા. 100 નંબર પર ફોન કર્યો, મેડિકલ ટીમે 5-10 મિનિટમાં આવવાનું કહ્યું, પરંતુ દોઢ કલાક સુધી કોઈ આવ્યું નહીં. મજબૂરીવશ પિતાને પીઠ્ઠુ પર હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આખો પરિવાર 19 એપ્રિલના રોજ કેદારનાથ અને બદ્રીનાથ ટૂર પર ગયો હતો. 70 લોકોની ટૂર છે. હેમંતભાઈ તેમના પત્ની અને માતા-પિતા સાથે ટૂર પર ગયા છે. આ દરમિયાન હેમંતભાઈના પિતાનું અવસાન થયું છે. 13 દિવસની યાત્રા છે. યાત્રા આગળ વધશે અને હેમંતભાઈ તેમના પરિવાર સાથે વડોદરા પરત આવશે. '2 કલાક તડકામાં પડી રહી ડેડ બોડી' અંકુરે આગળ કહ્યું કે, મારા પિતાનો મૃતદેહ 2 કલાક સુધી હેલિપેડ પર તડકામાં પડ્યો રહ્યો. પ્રશાસન કહે છે કે પગપાળા લઈ જાઓ. પગપાળા લઈ જવામાં 5-6 કલાક લાગશે, મૃતદેહની શું હાલત થશે. જો CM ને આવવા-જવા માટે હેલિકોપ્ટર મળી શકે છે, તો એક મૃત શ્રદ્ધાળુના મૃતદેહને નીચે પહોંચાડવા માટે કેમ નહીં? ડીએમ સાહેબ કહી રહ્યા છે કે DGCA સાથે વાત કરો. ગયા વર્ષે મૃતદેહ નીચે લઈ જવાની મંજૂરી હતી, તો આ વર્ષે અચાનક નિયમો કેમ બદલવામાં આવ્યા? શું મૃત્યુ પામેલા લોકો માટે કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ? પુત્ર બોલ્યો- 16 હજાર રૂપિયા માંગી રહ્યા છે અંકુરે ભાસ્કરને જણાવ્યું કે રુદ્રપ્રયાગ પ્રશાસન કોઈ મદદ કરી રહ્યું નથી. ઉપરથી પૈસા માંગવામાં આવી રહ્યા છે. રુદ્રપ્રયાગના DM વિશાલ મિશ્રાએ એમ્બ્યુલન્સનો નંબર આપ્યો, જે દિલ્હી એરપોર્ટ સુધી છોડવાના 16,000 રૂપિયા માંગી રહ્યા છે. હાલ તેઓ રુદ્રપ્રયાગની હોસ્પિટલમાં છે. UCADA બોલ્યું- હેલિકોપ્ટર સેવા આપવામાં આવી યુકાડા (UCADA) સીઈઓનું કહેવું છે કે યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની મેડિકલ ફેસિલિટી માટે સ્થાનિક પ્રશાસનની સંપૂર્ણ જવાબદારી હોય છે અને તેમના સ્તરેથી જ બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે કેદારનાથ હેલીપેડ પર પરિવાર દ્વારા ઘણા કલાકો સુધી રાહ જોવાના સંબંધમાં કંટ્રોલ રૂમમાં પહેલા કોઈ સૂચના આપવામાં આવી ન હતી કે હેલીપેડ પર આ પ્રકારનો કોઈ કેસ છે. જેવી જ સૂચના મહાનિર્દેશક બંશીધર તિવારીએ બપોરે લગભગ 12 વાગ્યે તેમને ફોન કરીને જાણકારી આપી, તેના 10 થી 15 મિનિટની અંદર જ હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હતી અને વૃદ્ધ વ્યક્તિના મૃતદેહને નીચે પહોંચાડી દેવામાં આવ્યો હતો. ચાર દિવસમાં શ્રદ્ધાળુઓના મોત થયા ઉત્તરાખંડની ચારધામ યાત્રાના પહેલા જ દિવસે બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને હવે વધુ એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ચારધામ યાત્રાના પહેલા દિવસે ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી ધામ માર્ગ પર બે મૃત્યુ થયા હતા. મધ્યપ્રદેશથી પોતાના પતિ સાથે યાત્રા પર આવેલી એક મહિલાનું ઘોડા પરથી પડી જવાને કારણે મૃત્યુ થયું. જ્યારે, મહારાષ્ટ્રથી આવેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુની પગપાળા ચઢાણ દરમિયાન અચાનક તબિયત લથડી. ચઢાણ કરતી વખતે તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ. પરિવારજનો અને પ્રશાસનની મદદથી તેમને તરત જ જાનકીચટ્ટી સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહીં. -------------------------------------- આ સમાચાર પણ વાંચો… 181 દિવસ પછી ખુલ્યા કેદારનાથ ધામના કપાટ:હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ, DGCAએ હેલિ સેવા સ્થગિત કરી; બદરીનાથ પહોંચી ડોળીઓ ચારધામ યાત્રાના ચોથા દિવસે બુધવારે સવારે 8 વાગ્યે કેદારનાથ મંદિરના દરવાજા ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા હતા. પરંપરા મુજબ, મંદિરનો પૂર્વીય દરવાજો પહેલા ખોલવામાં આવ્યો હતો, અને મુખ્ય પૂજારી, રાવલ અને અન્ય હકદારોએ પ્રવેશ કર્યો હતો અને પૂજા શરૂ કરી હતી. આ દરમિયાન ગયા વર્ષે દરવાજા બંધ કરતી વખતે જ્યોતિર્લિંગ પર લગાવવામાં આવેલી રાખ દૂર કરવામાં આવી હતી અને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી. દરવાજા ખોલવાના પ્રસંગે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મંદિર પહોંચ્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા કરી. વૈદિક વિધિઓ સાથે પૂજા પૂર્ણ થયા પછી મંદિરના મુખ્ય દરવાજા હવે સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, અને દર્શન શરૂ થઈ ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
મહીસાગરમાં હીટવેવનો પ્રકોપ, બપોરે રસ્તા સૂમસામ:આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી, ORSનું વિતરણ શરૂ
ગુજરાત રાજ્યમાં હીટવેવની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આકરી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે જિલ્લા મથક લુણાવાડા શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગરમીને લઈને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. જો ઘરની બહાર નીકળવું અનિવાર્ય હોય, તો તમામ સાવચેતીના પગલાં ભરવા સૂચન કરાયું છે. ખાસ કરીને સવારે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં બહાર નીકળતી વખતે શરીરને સંપૂર્ણપણે ઢાંકીને નીકળવા અને વધુ માત્રામાં પાણી તેમજ ઠંડા પદાર્થોનું સેવન કરવા જણાવાયું છે. લોકોને લૂની પરિસ્થિતિમાં ચા, કોફી અને વધુ મસાલેદાર પદાર્થોનું સેવન ટાળવા માટે પણ જણાવાયું છે. જો કોઈને લૂના લક્ષણો જણાય, તો તરત જ તેને છાંયડામાં લઈ જઈ કપડાં ઢીલા કરવા, પાણીનો છંટકાવ કરવો, છાશ કે ORS પીવડાવવું. વધુ જરૂર જણાય તો નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે જવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, મહીસાગર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના ત્રણ એસટી ડેપો – બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર ખાતે મુસાફરો, બસ ડ્રાઈવરો અને કંડક્ટરોને લૂથી બચવા અને લૂ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી રહી છે. આ સ્થળોએ નિઃશુલ્ક ORSનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં જ વેરાવળ નગરપાલિકાની રાજનીતિમાં તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. એક તરફ ભાજપ વિકાસના દાવા સાથે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ આ જ વિકાસને ‘ભ્રષ્ટાચારનો નકાબ’ ગણાવી તીખા પ્રહારો કરી રહી છે. હવે આ રાજકીય જંગનું કેન્દ્ર બની છે વેરાવળની ચોપાટી—જ્યાં વિકાસના દાવા સામે જ હકીકતોના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતાના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે ચોપાટી પર પહોંચી ગયા હતા અને ત્યાંની હાલતને ‘ભાજપના ભ્રષ્ટ શાસનનું જીવંત ઉદાહરણ’ ગણાવી હતી. જનસંપર્ક સાથે કરવામાં આવેલી આ મુલાકાત માત્ર રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ ચૂંટણી પૂર્વેનો એક મોટો રાજકીય સંદેશ બની ગઈ છે. ચોપાટી, જે પ્રવાસન અને શહેરના ગૌરવનું પ્રતિક હોવું જોઈએ, ત્યાં હાલ બિસ્માર પરિસ્થિતિ જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા વોક-વેના બ્લોક્સ અને લાદીઓ થોડા જ સમયમાં ઉખડી જવાથી કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે “લોટપાણીને લાકડા જેવું કામ” કરી પ્રજાના પૈસા ગાળવામાં આવ્યા છે. રાત્રિના સમયે ચોપાટી પર અંધારપટ છવાઈ જાય છે—કારણ કે લાખો રૂપિયાના હાઈ-માસ્ટ લાઈટ પોલ બંધ હાલતમાં છે. શૌચાલયોમાં ગંદકીના ઢગલા અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ, ‘સ્માર્ટ સિટી’ના દાવાઓને ખુલ્લો પડકાર આપે છે. વધુમાં, રખડતા પશુઓ અને કૂતરાઓના ત્રાસને કારણે પરિવાર સાથે ફરવા આવતા નાગરિકો માટે ચોપાટી જોખમી બની ગઈ છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપ પર આક્રમક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “આ વિકાસ નહીં, પણ ભ્રષ્ટાચારનું પ્રદર્શન છે. જનતાના કરોડો રૂપિયા ક્યાં ગયા તેનો હિસાબ ભાજપને આપવો પડશે. વેરાવળની જનતા હવે મૌન નહીં રહે આ ચૂંટણીમાં જવાબ મળશે.” ચૂંટણીના માહોલમાં કોંગ્રેસે ‘ચોપાટી મોડેલ’ને મુખ્ય મુદ્દો બનાવી ભાજપને રક્ષણાત્મક સ્થિતિમાં ધકેલી દીધું છે. બીજી તરફ ભાજપ હજુ સુધી આ આક્ષેપો પર ખુલ્લો જવાબ આપતું નથી, પરંતુ અંદરખાને નુકસાન નિયંત્રણની કોશિશો તેજ થઈ હોવાની ચર્ચા છે. સ્પષ્ટ છે કે વેરાવળની આ ચૂંટણી માત્ર મતદાન પૂરતી નહીં રહે, પરંતુ ‘વિકાસ સામે ભ્રષ્ટાચાર’ના નેરેટિવ પર લડી જશે. હવે જોવાનું એ રહેશે કે ચોપાટીનો મુદ્દો મતદારોના મનમાં કેટલો ઊંડો પ્રભાવ પાડે છે અને આ રાજકીય ઘમાસાણ અંતે કોના પક્ષે વળે છે.
તાપી જિલ્લાના નિઝર પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર સરહદ તરફથી આવતી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી રૂ. 28.19 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 30.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિઝર પોલીસ સ્ટેશનના PI એમ.ડી. વિઠલપરા, PSI એમ.આઈ. વસાવા અને તેમની ટીમ કેસરપાડા ચોકી પાસે રાત્રિના સમયે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન રાત્રિના આશરે ૩:૩૦ વાગ્યે મહારાષ્ટ્રના ધાનોરા ગામ તરફથી એક સફેદ બોલેરો પીકઅપ ગાડી (નંબર: MH-15-HH-1956) શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીની પાછળના ભાગે કાળી તાડપત્રી બાંધેલી હતી. પોલીસે તપાસ કરતા અંદર પુઠ્ઠાના બોક્સમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાંથી 'રીઝો પોર્ટ વાઈન ૧૦૦૦' બ્રાન્ડની વિવિધ માપની કુલ ૮,૭૬૦ બોટલો (૧૯૨૨.૪૦૦ લિટર) દારૂ જપ્ત કર્યો હતો. જેમાં ૭૫૦ મિ.લી.ની ૩૬૦ બોટલ (કિંમત રૂ. ૩,૯૬,૦૦૦), ૩૭૫ મિ.લી.ની ૭૨૦ બોટલ (કિંમત રૂ. ૩,૯૬,૦૦૦) અને ૧૮૦ મિ.લી.ની ૭,૬૮૦ બોટલ (કિંમત રૂ. ૨૦,૨૭,૫૨૦) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ. ૨,૫૦,૦૦૦ ની બોલેરો પીકઅપ ગાડી અને રૂ. ૫,૦૦૦ નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, કુલ રૂ. ૩૦,૭૪,૫૨૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગાડીના ચાલક રમેશભાઈ ચુનિલાલભાઈ ગાંવિત (ઉંમર ૨૬, રહે. સ્વામીનગર અંબડ, તા. ચાંદવડ, જિ. નાશિક, મહારાષ્ટ્ર) ની અટકાયત કરી છે. પૂછપરછમાં આરોપી પાસે દારૂના વહન માટે કોઈ પાસ કે પરમિટ મળી ન હતી. આ સફળ કામગીરી નિઝર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વિઠલપરા, પી.એસ.આઈ. એમ.આઈ. વસાવા, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ, કોન્સ્ટેબલ મુકેશભાઈ, યતિનભાઈ, સંતવાનભાઈ અને સંદીપભાઈ દ્વારા કરવામાં આવી હતી.
ગોધરામાં કેન્સર સ્ક્રીનિંગ તાલીમ શરૂ:જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા MPHW, FHW ને અપાશે પ્રશિક્ષણ
ગોધરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોમન કેન્સર સ્ક્રીનિંગ અને વહેલા નિદાન માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર જેવી ગંભીર બીમારીઓના ત્વરિત નિદાન માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે. આ તાલીમમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા MPHW, FHW, મેડિકલ ઓફિસર અને અન્ય આરોગ્ય કર્મચારીઓને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં હાલ 14વર્ષની દીકરીઓને HPV વેક્સિન આપવાની કામગીરી પણ ચાલી રહી છે. આ વેક્સિન સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૯,૦૦૦ ના લક્ષ્યાંક સામે 11000 જેટલી દીકરીઓને વેક્સિનેશન આપવામાં આવ્યું છે, જે 57% સિદ્ધિ દર્શાવે છે. નોંધનીય છે કે બજારમાં ૨૨ થી ૨૫ હજાર રૂપિયાની કિંમત ધરાવતી આ વેક્સિન સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) માં વિનામૂલ્યે આપવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ સંકોચ વિના પોતાની ૧૪ વર્ષની દીકરીને આ વેક્સિન અવશ્ય મુકાવે.
ગોધરા નગરપાલિકા ચૂંટણીમાં મોટો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભાજપનું મેન્ડેટ રજૂ ન કરવાના કારણે રદ કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીના આ આદેશથી કોંગ્રેસ આક્રમક બની છે અને ન્યાય મેળવવા કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી અધિકારી દ્વારા જારી કરાયેલા આદેશમાં કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ સોલંકીનું ઉમેદવારી પત્ર અમાન્ય ગણાવવા પાછળનું કારણ દર્શાવવામાં આવ્યું છે. આદેશ મુજબ, ઉમેદવારે 'ભાજપનું મેન્ડેટ' રજૂ કર્યું ન હોવાથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. કોંગ્રેસના ઉમેદવાર પાસેથી ભાજપના મેન્ડેટની અપેક્ષા રાખતા આ હુકમે સૌને ચોંકાવી દીધા છે. આ નિર્ણયથી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. નોંધનીય છે કે, ગત ૧૩ એપ્રિલના રોજ વોર્ડ નંબર ૧૦ના કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ સોલંકીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ઉમેદવારી પત્ર સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને પક્ષનું મેન્ડેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, ચૂંટણી અધિકારીએ પક્ષનું મેન્ડેટ રજૂ ન થયું હોવાનું જણાવી તેમનું ફોર્મ અમાન્ય ગણાવ્યું. ચૂંટણી અધિકારીના આ વિવાદાસ્પદ નિર્ણયથી કોંગ્રેસ આક્રમક બની છે. પક્ષે આ મામલાને ગુજરાત વિધાનસભા સુધી પહોંચાડવાની અને જરૂર પડ્યે કેન્દ્ર સ્તરે પણ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં સત્તાધારી પક્ષના મેન્ડેટનું કારણ આપી વિપક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરવું, તે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે. હવે રાજ્ય ચૂંટણી પંચ આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે મહાનગરપાલિકામાં આગામી 26 એપ્રિલે 13 વોર્ડની ચૂંટણી થવા જઇ રહી છે.ત્રણે પક્ષના ઉમેદવાર હાલમાં જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે.ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે મહેસાણાના વોર્ડ નંબર 4 માં આવેલા તાવડીયા રોડ પરની કેટલીક સોસાયટીમાં રહેતા રહીશોની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો.આ મહાનગરપાલિકા બન્યા બાદ આ વિસ્તારમાં હાલમાં તો વિકાસના કામો થઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે.ત્યારે બીજી બાજુ આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન પણ હોવાનું તેઓએ જણાવ્યું છે. બ્યુટીફિકેશનના કામો વચ્ચે પીવાના પાણીની સમસ્યાઆ વિસ્તારમાં વિકાસના કામોની વાત કરવામાં આવે તો તળાવ બ્યુટીફીકેશન નું કામ ચાલી રહ્યું છે.આઇકોનીક રોડ બની રહ્યા છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે લાઇન પણ નાખી દેવામાં આવી છે.પરંતુ આ વિસ્તારમાં પાયાની સુવિધા જેવી કે સોસાયટીમાં નર્મદાનું પાણી મળતું નથી,પાણી મળે છે તો ઓછા પ્રેશરમાં મળે છે,આ વિસ્તારમાં આંગણવાડી કે સરકારી શાળા ના હોવાથી વિદ્યાર્થીઓ ને આજુબાજુ ના વિસ્તારમાં ભણવા જવું પડે છે.ત્યારે આ વિસ્તારમાં રોડ,રસ્તા,ગટર ની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં થઇ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. વિનુભાઈ રાવળે જણાવ્યું કે, તાવડીયા વિસ્તારમાં બાળમંદિર નથી. નાના ભૂલકાઓને મહેસાણાના માનવ આશ્રમ અથવા તાવડીયા ગામે ભણવા જવું પડે છે.નાના બાળકો માટે ખૂબ તકલીફ ભર્યુ કામ છે.અહીંયા બાળમંદિર,જુનિયર કે.જી,સિનિયર કે.જી ની રચના થાય અને 1 થી 8 ધોરણની સ્કૂલ અહીંયા ચાલુ થાય. જેથી બાળકો અને માતા પિતાને આસાની રહે.વિકાસની વાત કરીએ તો તાવડીયા ગામના તળાવનું બ્યુટીફીકેશન થઈ રહ્યું છે, વરસાદી પાણીના નિકાલ માટે ગટરની લાઇન પણ નાખવામાં આવી છે. વિકાસ તો થયો છે પણ અમારી પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ઘર વપરાશ નું પાણી અઠવાડિયામાં ત્રણ દિવસ સવારે આવે છે.સાંજે પણ આવે છે પરંતુ એ પૂરતું નથી આવતું.ઉનાળામાં તો ટેન્કરો મંગાવવા પડે છે ને ખૂબ મોંઘા પડે છે.તેમજ નર્મદાનું પાણી તો અમને ટીપુંય મળતું નથી.આ વિસ્તારમાં નર્મદાનું પાણી મળે તો એ આશીર્વાદ રૂપ સાબિત થશે. અકસ્માત ઝોન ગણાતા વિસ્તારમાં સ્પીડબ્રેકર મૂકવા માગમગનભાઈ દેસાઈ એ જણાવ્યું કે, આ વિસ્તારમાં તો પહેલા તાવડિયા લિંક રોડ,વિસનગર લિંક રોડ ખરો ને ત્યાં અકસ્માત ઝોન છે. અને ત્યાં બે સ્પીડ બ્રેકર માંગેલા છે પણ આજ સુધી એ કામ થયું નથી. કારણ કે એ જોખમ છે.રસ્તો ક્રોસ કરવો મોટું જોખમ છે. તાવડિયા રોડ ખરો ને, SC, ST અને OBC ની મોટાભાગની પબ્લિક અહીંયા રહે છે. આ વિસ્તારમાં પ્રાથમિક શાળા,બાલમંદિરની પણ ખૂબ જરૂર છે. પીવાનું પાણી નર્મદાનું આવતું નથી જે આવે છે એ પ્રેશરથી આવતું નથી. એટલે જે પ્રાથમિક જીવન જરૂરિયાતો જે ખરી ને એ આ રોડ ઉપર ખૂબ જ જરૂર છે. અને એ સરકાર દ્વારા અને ચૂંટાયેલા સભ્યો દ્વારા પૂરું થાય એવી અપેક્ષા રાખી છીએ. વધુમાં જણાવ્યું કે કોર્પોરેટરો આવતા, કેટલાય નેતાઓ આવતા. આ બધા વિકાસના કામો તો ચાલુ જ છે.પણ જે જે જરૂરિયાત છે એ જેમ કે પાયાની જરૂરિયાત પેલા સ્પીડ બ્રેકર તાવડિયા લિંક રોડ ઉપર.અને આ રોડ આખું પહોળો થાય,આ ગટરો રોડના લેવલે પુરાય, આ કેનાલો જે વરસાદી કરી ને એ રોડના લેવલ થાય તો રસ્તો પહોળો થાય. બાકી દબાણ હોય એ તોડી નાખો અને રસ્તો અત્યારથી પહોળો થાય તો પબ્લિકને સારી સુવિધા મળે. પીવાનું પૂરતું પાણી, સ્ટ્રીટ લાઈટ અને શિક્ષણ સુવિધાની માગચૌહાણ ડાહ્યાભાઈ એ જણાવ્યું કે અમારા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની જે લાઇન નાખી છે.એ 8 ફૂટ જગ્યા રોકી છે.ગટર લાઇન પાઇપ લાઇન દ્વારા નાખવામાં આવે તો રસ્તો પહોળો થઈ શકે છે.આ વિસ્તારમાં વારંવાર અકસ્માતનો ભય રહે છે,ટ્રાફિક સમસ્યા બહુ છે. લોકો આડેધડ પાર્કિગ કરતા હોય છે.જેના કારણે લોકોને આવવા જવામાં ભારે તકલીફ પડતી હોય છે. અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી મળતું નથી.અમારી બાલાજી સોસાયટીમાં જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારથી રજુઆત કરીયે છીએ.કે બે સમય પીવાનું પાણી મળે પરંતુ એ સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી.આ બાબતે અમે અમારા પ્રશ્નોની રજુઆત કરી છે.જેમાં પાણી,રોડ,સ્ટ્રીટ લાઇનનો પ્રશ્ન છે.રોડ પહોળો કરી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તો રોડની રોનક સારી આવે.
પોરબંદરમાં 262 ગ્રામ ગાંજા સાથે બે ઝડપાયા:જુબેલી ચાર રસ્તા પાસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
પોરબંદર શહેરમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત, પોરબંદર એસ.ઓ.જી.એ જુબેલી ચાર રસ્તા વિસ્તારમાંથી 262 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાઓના આધારે, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાએ સ્ટાફને ચોક્કસ બાતમીઓ પર કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. એસ.ઓ.જી. સ્ટાફને મળેલી બાતમીના આધારે, જુબેલી ચાર રસ્તા ખાડી કાંઠે જોષી સાયકલ સ્ટોર પાછળ આવેલા એક રહેણાંક મકાન પર સરકારી પંચોને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, જયદીપ બાબુભાઈ ચાવડા (ઉંમર 28, રહે. ગીતાનગર સોસાયટી, છાંયા) અને નારણભાઈ વરજાંગભાઈ વાજા (ઉંમર 66, રહે. જુબેલી ચાર રસ્તા વિસ્તાર)ને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે રૂપિયા 13,100ની કિંમતનો 262 ગ્રામ સૂકો ગાંજો, રૂપિયા 500નો એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને રૂપિયા 2,500નો Nothing કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 16,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
AAP નેતા ગોપાલ ઈટાલિયા ગાળ બોલ્યા જૂનાગઢમાં ભેસાણમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાળ બોલ્યા હાજર આગેવાનો એ ધ્યાન દોરતા કહ્યુ ભાવનગરમાં નોર્મલ છે, બહેનો-ભાઇઓ બધા બોલે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કર્મો દેખાડ્યા તો રામના નામે ભાગ્યા!અમદાવાદના શાહપુરમાં પ્રચાર માટે આવેલા ભાજપના ઉમેદવારોને અધૂરા કામોને લઈને સ્થાનિકોએ ઘેર્યા .. ત્યારે જવાબ આપવાને બદલે ઉમેદવારો જય શ્રીરામના નારા લગાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલાને ધક્કો મારતા તે દીવાલ સાથે અથડાઈ સુરતના ગોરાટમાં હનુમાન મંદિરના વિવાદને લઈને સ્થાનિકોએ ભાજપ કાર્યકર્તાઓને રોક્યા તો કાર્યકર્તાઓ ધક્કામુક્કી પર ઉતરી મહિલાઓ સાથે જપાજપી કરી .. જેમા મહિલાને ધક્કો વાગતા તે દીવાલ સાથે અથડાઈ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ જિલ્લા પ્રમુખે જાહેરમાં બર્થ ડે ઉજવ્યો જૂનાગઢના કેશોદમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જાહેરમાં બર્થડે ઉજવ્યો કેક કાપી ફટાકડા ફોડ્યા... કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિત અનેક ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ સહભાગી થયા... જાહેરમા ઉજવણી થી પોલીસની કાર્યવાહી પર સવાલો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કપરાડામાં પીકઅપ પલટી જતા 6 લોકોના મોત કપરાડા નજીક મુસાફરો ભરીને જતી એક પીકઅપ ગાડી પલટી મારી જતા 6 લોકોના મોત થયા.. કુલ 28 જેટલા વ્યક્તિઓ પરિવાર આણું વાળવા જતા હતા ત્યા અકસ્માત નડ્યો... ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં ઉદ્યોગપતિની પત્નીનો આપઘાત સુરતના સુભાષનગરમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિની પત્ની ખ્યાતિ કેજરીવાલે લગ્નના માત્ર બે જ મહિનામાં ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવર સ્પીડમાં બેલેન્સ ગુમાવતા મોત સુરતના કામરેજમાં પુરપાટ ઝડપે જતી મોટરસાયકલ વીજળીના થાંભલા સાથે અથડાઇ ... વતન જવા માટે સામાન લેવા જતા ત્યારે બાઇક પરથી કાબુ ગુમાવતા એકનું મોત નીપજ્યુ... પોલીસે આગળ તપાસ હાથ ધરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં માતાના પડખામાંથી બાળકીનું અપહરણ સુરતના કાપોદ્રામાં ફૂટપાથ પર માતા સાથે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયુ.. સીસીટીવી ફૂટેજમાં અપહરણકાર બાળકીને ટ્રેનથી મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાથી સુરત પોલીસની 20 ટીમો ઈન્દોર જવાના રવાના આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદના ફ્લેટના પાર્કિંગમાં વૃદ્ધની હત્યા અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં વૃદ્ધની હત્યા કરાઇ .. અજાણ્યા વ્યક્તિએ માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નીપજાવી ..સવારે 55 વર્ષીય કાનજીભાઈનો મૃતદેહ મળતા સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શેકાવા તૈયાર રહેજો, પારો 43 ડિગ્રી પહોચશે ગુજરાતમાં આગામી 7 દિવસ આગઝરતી ગરમીની આગાહી 24 તારીખથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે .. તાપમાનનો પારો 43 સુધી પહોંચવાની શક્યતા છે મતદાનના દિવસે તાપમાન 40 થી 43 ડિગ્રી રહેશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ખેડા જિલ્લાના ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઘટનાને પગલે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. 4:35 કલાકે 3.4 ની તીવ્રતા નોંધાઈવહેલી સવારે 4:35 કલાકે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો કાલસર, આગરવા નેશ અને કાલસર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટપણે મહેસૂસ કરવામાં આવ્યો હતો. મોટા અવાજ સાથે ધરા ધ્રૂજતા ફફડાટભૂકંપનો આંચકો એકાએક મોટા અવાજ સાથે આવતા સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. ભૂસ્તર વિજ્ઞાનની દ્રષ્ટિએ આ આંચકાનું કેન્દ્રબિંદુ તાલુકાનું વજેવાલ ગામ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ફાગવેલ તાલુકાના અનેક ગામોમાં અસરડા જિલ્લાના ફાગવેલ તાલુકામાં પણ કેટલાક ગામોમાં ધરા ધ્રૂજી હતી. ફાગવેલ તાલુકાના વડોલ, કાપડીવાવ અને ફાગવેલ જેવા મુખ્ય ગામોમાં બરાબર 4:36 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગભરાટના માર્યા લોકો ઘરની બહાર દોડ્યા અચાનક આવેલા આંચકાથી ભયભીત થયેલા લોકો જીવ બચાવવા માટે તાત્કાલિક પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. સમગ્ર પંથકના લોકોએ ભૂકંપનો આ હળવો આંચકો અનુભવતા લાંબા સમય સુધી લોકોમાં ફફડાટ વ્યાપેલો રહ્યો હતો.આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરો ભરીને જતી એક પીકઅપ ગાડી અચાનક પલટી મારી જતાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…
કલ્પના કરો કે તમારું ATM કાર્ડ તમારા ખિસ્સામાં છે, પિન નંબર પણ સુરક્ષિત હોવા છતાં તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય તેવી હાઇટેક મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી POS (પોઈન્ટ ઓફ સેલ) મશીન મેળવી, હરિયાણામાં બેસીને લોકોના ક્લોન કરેલા કાર્ડ સ્વાઇપ કરી લાખો રૂપિયાની હેરાફેરી કરનાર ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ શું કામ કરતા?પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને DCP બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા છે. BScના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો મંથન સુરેશભાઇ કુકડિયા (ઉ.વ. 19) બોગસ 'ઉદ્યમ સર્ટિફિકેટ' બનાવી બેંકમાંથી POS મશીન મેળવતો હતો. સોલાર ફિટિંગનો ધંધો કરતો ઉદય જયંતીભાઇ ધડુક (ઉ.વ. 28) મંથન પાસેથી POS મશીન મેળવી હરિયાણાના જીંદ જિલ્લામાં બેઠેલા સાગરીતોને કુરિયર કરતો હતો. બેકરીનો વ્યવસાય કરતો પ્રિયાંશુ વિપુલભાઇ મહેતા (ઉ.વ. 24) ફ્રોડના નાણાં ATMમાંથી વિડ્રો કરી CDM દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો. ક્લોનિંગથી કમિશન સુધીની આરોપીઓની મોડસ ઓપરેન્ડીઆ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક સાયબર ફ્રોડના નાણાંને કાયદેસરના વ્યાપારી વ્યવહારમાં ફેરવતી હતી. મંથને પાંડેસરાના એક વેપારીની વિગતો ચોરી, ગ્રાફિક્સની મદદથી નકલી 'ઉદ્યમ સર્ટિફિકેટ' બનાવી એક્સિસ બેંકમાંથી સત્તાવાર POS મશીન મેળવ્યું હતું. આ મશીન હરિયાણાના જીંદ જિલ્લામાં મોકલવામાં આવતું, જ્યાં અન્ય આરોપીઓ નિર્દોષ લોકોના ATM કાર્ડ ક્લોન કરી આ મશીન પર સ્વાઇપ કરતા હતા. કાર્ડ સ્વાઇપ થતા જ રૂપિયા સુરતમાં મંથનના યુનિયન બેંકના ખાતામાં જમા થતા. માત્ર 6 દિવસમાં આ રીતે 2,21,345 રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. આ વ્યવહાર બદલ મંથને ₹20,000 અને અન્ય બે આરોપીઓએ ₹25,000-25,000નું કમિશન મેળવ્યું હતું. રાજસ્થાની યુવકની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂરાજસ્થાનના ઉદયપુરમાં રહેતા એક વ્યક્તિના કાર્ડનો ઉપયોગ થયા વગર જ સુરતના POS મશીનમાંથી રૂપિયા ઉપડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ઇન્સ્પેક્ટર એન.આર. પટેલે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતા મોટા વરાછા વિસ્તારમાં એક્ટિવ શંકાસ્પદ POS મશીનોના આધારે આખી ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસની ટીમ મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા હરિયાણા રવાનાપોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને અપીલ કરી છે કે પોતાના મહત્વના દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ કે વ્યવસાયિક સર્ટિફિકેટ અજાણી વ્યક્તિને ન આપવા, કારણ કે તેનો ઉપયોગ તમારા નામે બોગસ બેંક ખાતા કે મશીનો મેળવવા માટે થઈ શકે છે. હાલ સુરત પોલીસની એક ટીમ હરિયાણામાં છુપાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા રવાના થઈ છે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરતની મુલાકાત લીધી હતી. સિસોદિયાએ ભાજપના 30 વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના લોકો હવે ભાજપની નીતિઓથી કંટાળી ગયા છે અને આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવાનો વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું કે, વિરોધ પક્ષમાં હોવા છતાં અમારા કાઉન્સિલરોએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે કામો કર્યા છે, તેના આધારે જનતા ફરી વિશ્વાસ મૂકશે. આંગડિયા અને બ્લેક મની મુદ્દે ભાજપને ઘેર્યુંતાજેતરમાં ‘આપ’ પર લાગેલા હવાલાના આરોપોનો વળતો જવાબ આપતા સિસોદિયાએ સવાલ કર્યો હતો કે, જો મોદીજી બ્લેક મની નાબૂદીની વાત કરતા હોય તો ગુજરાતમાં આંગડિયાઓ કોના સંરક્ષણમાં અને કોના માટે કામ કરી રહ્યા છે? તેમણે પોલીસને પડકાર ફેંકતા કહ્યું કે, જો હિંમત હોય તો આંગડિયા પેઢીઓના એક મહિનાના CCTV ફૂટેજ જાહેર કરો. કયા નેતાઓ અને કોના સંતાનો ત્યાં લેવડ-દેવડ કરવા આવે છે તે જનતાને ખબર પડી જશે. માત્ર થોડી સેકન્ડના વીડિયો બતાવીને પ્રોપેગાંડા કરવાનું બંધ કરો અને સત્ય સામે લાવો. સુરતીઓએ 4 વર્ષ પહેલા 27 બેઠકો આપી અમારા પર વિશ્વાસ મૂક્યોAAPના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું હતુ કે, ભાજપે ગુજરાત માટે કંઈ કર્યું નથી, એ સત્યને અમે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. પાંચ વર્ષ પહેલાં સુરતના લોકોએ 120માંથી 27 બેઠકો આપીને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ બતાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના વિઝન અને નેતૃત્વ હેઠળ દેશને આગળ લઈ જવાઈ શકે છે. એક સામાન્ય માણસના જીવનમાં સહુલિયતો આવે, લોકોના બાળકોને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે એ માટે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે કામ કરીને બતાવ્યું, તેના આધારે સુરતના લોકોએ અમને 27 બેઠકો આપી હતી. એ અમારા માટે બહુ મોટી ઉપલબ્ધિ હતી. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? માત્ર આમ આદમી પાર્ટીને ગાળો આપવાનું કામ કર્યું. અમને ખરાબ કહેવાનું કામ કર્યું. પરંતુ પોતાના ભ્રષ્ટાચાર અને નિકમ્માપણાં સિવાય સુરત માટે કંઈ કર્યું નહીં. સુરતના સ્કૂલો માટે કંઈ કર્યું નહીં, હોસ્પિટલ માટે કંઈ કર્યું નહીં. સુરતના લોકોના જીવન સાથે જોડાયેલા જે મૂળભૂત પ્રશ્નો છે, જે મ્યુનિસિપલ મુદ્દાઓ છે, તેના માટે કંઈ કર્યું નહીં. પરંતુ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ વિરોધ પક્ષમાં રહીને પણ એ કામ કરીને બતાવ્યું, જેના માટે આમ આદમી પાર્ટી બની છે. વિરોધ પક્ષમાં રહીને પણ અમારા કાઉન્સિલરોએ સ્કૂલો બનાવડાવી,હોસ્પિટલોમાં બેડ વધારાવ્યા. આ વખતે પણ સમગ્ર ગુજરાતમાં જ્યાં-જ્યાં ચૂંટણી થઈ રહી છે, ત્યાં અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. અને આજે હું સુરતમાં છું. સુરતના લોકો વચ્ચે એ જ વિઝન, એ જ વિશ્વાસ અને એ જ આશા સાથે ફરી જઈ રહ્યા છીએ કે, ગયા વખતે તમે અમને વિશ્વાસ કરીને 27 બેઠકો આપી હતી, આ વખતે સુરત મહાનગરપાલિકામાં પૂર્ણ બહુમત આપો, જેથી અમે એ વિઝન પર કામ કરી શકીએ. સુરતના એક સામાન્ય માણસને પોતાની સરકાર પાસેથી, પોતાના નેતાઓ પાસેથી અને પોતાની મ્યુનિસિપલ લીડરશિપ પાસેથી જે અપેક્ષા હોય છે, એ દરેક જરૂરિયાત પર કામ કરી શકીએ. જ્યાં આપ સિસ્ટમમાં આવે છે ત્યાં કામ તો થાય જ છેમને પૂરો વિશ્વાસ છે કે સુરત મહાનગરપાલિકામાં અમારી સરકાર બનશે અને બહુમત મળશે. અને જ્યારે બહુમત મળશે ત્યારે ચોક્કસપણે સ્કૂલ અને હોસ્પિટલ પર કામ થશે જ. સારા સ્કૂલો બનાવાશે, સારી હોસ્પિટલો બનાવાશે. આ વાત આજે લોકોને સમજાવવાની જરૂર નથી, કારણ કે લોકોને ખબર છે કે જ્યાં-જ્યાં આમ આદમી પાર્ટી સિસ્ટમમાં આવે છે. એ પછી દિલ્હી હોય, પંજાબ હોય કે વિરોધ પક્ષમાં હોય ત્યાં સ્કૂલ અને હોસ્પિટલ પર કામ તો થાય જ છે. સુરતના લોકો માટે સારી મ્યુનિસિપલ સ્કૂલો બનાવવાનું કામ અમે કરીશું. બહુમતમાં આવીને એ દિશામાં મજબૂત પગલાં લઈશું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે ઘણો પૈસો છે. સુરતના લોકો હીરા ઉદ્યોગથી લઈને ટેક્સટાઈલ ઉદ્યોગ સુધી દેશને યોગદાન આપે છે. આંતરરાષ્ટ્રીય નકશા પર સુરતના વેપારીઓએ સુરતનું નામ રોશન કર્યું છે. એટલે અહીં પૈસાની કોઈ કમી નથી. પણ પ્રશ્ન એ છે કે પૈસા હોવા છતાં લોકો સુધી સુવિધાઓ કેમ નથી પહોંચતી? આ જ પ્રશ્નનો જવાબ હવે જનતા માંગે છે, અને આ જ જવાબ આમ આદમી પાર્ટી આપવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. સુરતમાં પૈસાની કોઈ કમી નથી. છતાં પણ લોકો પર એક પછી એક ટેક્સ લાદવામાં આવી રહ્યા છે. હવે તો પાણી પર પણ ટેક્સ લગાવવાની તૈયારી ચાલી રહી છે. આ વખતે બહુમત સાથે લોકો પાર્ટીને જીતાડશેહું સુરતના લોકોને વિશ્વાસ અપાવું છું કે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું શાસન આવશે તો લોકો પર પાણીનો ટેક્સ નહીં લાગે અને કોઈપણ પ્રકારના બિનજરૂરી ટેક્સ લાદવામાં નહીં આવે. તેમણે વધુમાં કહ્યું કે આખા ગુજરાતમાં સ્માર્ટ મીટરનો મુદ્દો છે, પરંતુ સુરતના લોકો ખાસ કરીને આ મુદ્દે ખૂબ પરેશાન છે. સ્માર્ટ મીટરના નામે કેટલીક મળતિયાં કંપનીઓ દ્વારા ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ લૂંટ બંધ કરાવવા માટે પણ અમે લોકોને અપીલ કરીએ છીએ કે, જો તમે સ્માર્ટ મીટર સામે અવાજ ઉઠાવવા માંગતા હો, તો આમ આદમી પાર્ટીને મજબૂત બનાવો. મનીષ સિસોદિયાએ કહ્યું કે નગર નિગમની ચૂંટણીમાં લોકોએ એક વખત આમ આદમી પાર્ટીને અજમાવી છે અને આ વખતે અમને પૂરો વિશ્વાસ છે કે અલગ-અલગ શહેરોમાં લોકો બહુમત સાથે આમ આદમી પાર્ટીને જીતાડશે. પોલીસ ગુજરાતમાં આંગડિયા ઓપરેશનને ખુલ્લેઆમ ચાલવા દે છેલોકો હવે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષ જૂના શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે અને પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને આગળ લાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે વિરોધ પક્ષમાં બેઠેલા લોકોની શું મજબૂરી હોઈ શકે, તેના વિશે હું કંઈ કહી શકતો નથી. પરંતુ જનતાને શું જોઈએ છે એ સ્પષ્ટ છે,જનતાને સારી સ્કૂલ જોઈએ, સારી હોસ્પિટલ જોઈએ અને લોકો પર ખોટા-ખોટા ટેક્સ ન લાદવામાં આવે. થોડા ભાજપના મિત્રોને ફાયદો થાય એ માટે જનતાને પરેશાન કરવી એ ચાલશે નહીં. આમ આદમી પાર્ટી પર કરોડોના હવાલાનો આરોપ લગાવવામાં આવ્યો હોવાના સવાલનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા મનિષ સિસોદીયાએ જણાવ્યું હતું કે, તમે જ કહો છો કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહી છે, અને ગુજરાત પોલીસ ગુજરાતમાં આંગડિયા ઓપરેશનને ખુલ્લેઆમ ચાલવા દે છે. તો શું તેનો અર્થ એ નથી કે ગુજરાત પોલીસ સ્વીકારી રહી છે કે ભાજપના શાસનમાં આંગડિયા ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે? પહેલા તો આ તપાસ થવી જોઈએ કે 30 વર્ષના શાસનમાં મોદીજી બ્લેક મનીની વાતો કરતા રહ્યા, પરંતુ ગુજરાતમાં આંગડિયા કોના માટે કામ કરે છે? કેમ કરે છે? અને કોના સંરક્ષણમાં કરે છે? 24 કલાકનું ફૂટેજ જાહેર કરો, ટીવી ચેનલોને આપોમનીષ સિસોદિયાએ કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનમાં ગુજરાતમાંથી આંગડિયા અને હવાલા કારોબારીઓને ખતમ ન કરી શકી હોય, તો એનો અર્થ એ થાય છે કે ભાજપ આ વાત સ્વીકારી રહી છે.તેમણે કહ્યું કે જો આમ આદમી પાર્ટીનો કોઈ દૂરનો કાર્યકર્તા પણ પોતાના ધંધા માટે ચાર રૂપિયા લઈને જતો હોય અને જો તે ખોટું કરતો હોય, તો એને પણ પકડો. અમે ક્યાં મનાઈ કરીએ છીએ? જ્યારે અમે નિર્દોષ હોઈએ છીએ ત્યારે કોર્ટ અમને ખુલ્લેઆમ છોડી દે છે, કારણ કે અમારી સામે કેસ ટકી શકતો નથી. પરંતુ જો આંગડિયા ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ પાસે CCTV ફૂટેજ છે, તો 24 કલાકનું ફૂટેજ જાહેર કરો. ટીવી ચેનલોને આપો. એક અઠવાડિયાનો ફૂટેજ આપો. એક મહિનાનો ફૂટેજ આપો. બતાવો કે કયા આંગડિયા પાસે કયા નેતાઓ, કયા લોકો, અને કયા નેતાઓના બાળકો પૈસા લેવા-આપવા આવે છે. બધું જાહેર કરો. જો આમ આદમી પાર્ટીનો કોઈ દૂરનો કાર્યકર્તા પણ કોઈ CCTV ફૂટેજમાં પૈસા લેતો દેખાય, તો જનતા સામે મૂકો. પરંતુ ફક્ત થોડા સેકન્ડનો વીડિયો બતાવીને પ્રોપેગાંડા ન કરો. આખા દિવસનું, આખા મહિનાનું ફૂટેજ બતાવો. જે-જે લોકો આંગડિયા પાસે ગયા હોય, બધાનો ખુલાસો કરો. તેમણે વધુમાં પ્રશ્ન કર્યો કે જે વિસ્તારમાં આંગડિયાનો કારોબાર ચાલે છે, ત્યાંના ભાજપના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો આ કારોબાર ચલાવે છે કે સરકાર ચલાવે છે? ભાજપે આ વાતનો ખુલાસો કરવો જોઈએ. ‘30 વર્ષથી કંટાળી ગયા છીએ… થાકી ગયા છીએ’સી.આર. પાટીલે લગાવેલ આરોપનો જવાબ આપતા મનીષ સિસોદિયાએ કહ્યું કે છેલ્લા 30 વર્ષથી સુરત અને ગુજરાતના લોકોએ ભાજપને સરકાર બનાવી આપી છે એ આશાએ કે સ્કૂલ સુધરશે, શિક્ષણ સુધરશે. તમે 27 સ્કૂલ બતાવો સુરતમાં જે તમારી પાર્ટીએ સામાન્ય લોકોના બાળકો માટે સારી બનાવી હોય. જો તમે 27 સારી સરકારી સ્કૂલ બનાવી હોય, તો જનતા તમને 27 વર્ષ માટે પણ સરકાર બનાવી દેશે. પરંતુ જ્યારે-જ્યારે તમને સરકાર બનાવવાનો મોકો મળ્યો, ત્યારે તમે સ્કૂલ પર કામ કર્યું નથી. હું પાટીલ સાહેબને કહું છું સુરતમાં 27 સરકારી સ્કૂલ બતાવો, જે સામાન્ય લોકોના, મધ્યમવર્ગના બાળકો માટે ઉત્તમ શિક્ષણ આપવા માટે બનાવેલી હોય. ચાલો, જઈને જોઈ આવીએ. સ્કૂલ પર રાજનીતિ કરો, શિક્ષણ પર રાજનીતિ કરો એથી દેશ આગળ વધશે. કોણ કેટલી સીટ જીતશે, એ તો જનતા નક્કી કરશે. ગુજરાતની જનતા શું અનુભવી રહી છે એ મને આજે જ એક વ્યક્તિએ ખૂબ સરળ શબ્દોમાં સમજાવ્યું. તેમણે કહ્યું—સર, 30 વર્ષથી કંટાળી ગયા છીએ… થાકી ગયા છીએ.” આજે મને પહેલી વાર આ શબ્દનો અર્થ સમજાયો કે “કંટાળી ગયા” એટલે લોકો ખરેખર હવે થાકી ગયા છે. હું લોકોની જ ભાષામાં કહું તો ગુજરાતની જનતા હવે ભાજપથી કંટાળી ગઈ છે. 30 વર્ષ કોઈ એક પાર્ટી પર આશા રાખવા માટે બહુ લાંબો સમય છે. હું ફક્ત સુરતની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની વાત કરું છું. કોઈપણ રાજ્યનું ભવિષ્ય સ્કૂલોથી લખાતું હોય છે. આજે પણ અમારી પાર્ટીએ સંઘર્ષનો રસ્તો મૂક્યો નથીકોઈપણ પરિવારનું ભવિષ્ય સ્કૂલોથી ઘડાતું હોય છે. પરંતુ શિક્ષણના મુદ્દે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં સંપૂર્ણપણે શૂન્ય સાબિત થઈ છે.30 વર્ષમાં ભાજપે ગુજરાતના બાળકોને શું આપ્યું? ન સારી સરકારી સ્કૂલો, ન વિશ્વસ્તરીય શિક્ષણ, ન એવું માહોલ કે મધ્યમવર્ગ અને ગરીબ પરિવારના બાળકોને સારા ભવિષ્યની ખાતરી મળે. આજે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે, કારણ કે લોકો હવે સમજ્યા છે કે જો સ્કૂલ નહીં સુધરે, તો ભવિષ્ય નહીં સુધરે. અને આમ આદમી પાર્ટી એ જ ભવિષ્ય બદલવાની વાત કરે છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં આમ આદમી પાર્ટીને ગઈ ચૂંટણીમાં જે રીતે વિરોધ પક્ષમાં બેસવાની તાકાત મળી, ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. એ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે “સોનાની થાળીમાં લોખંડનો ખીલો આવી ગયો.” એ “લોખંડનો ખીલો” સોનાની થાળીમાથી દૂર કરવા માટે ભાજપે ખરેખર શાળાઓ બનાવવાની જરૂર હતી, દવાખાનાં બનાવવાની જરૂર હતી, વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવાની જરૂર હતી, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી બનાવવાની જરૂર હતી. પરંતુ એ બધું કરવાની જગ્યાએ ખીલો કાઢવાની કોશિશના ભાગરૂપે અમારા કેટલાક લોકોને ડરાવ્યા, દબાવ્યા, ધમકાવ્યા, લલચાવ્યા અને તેમના પરિવારો પર દબાણ લાવી તોડફોડની રાજનીતિ કરી. પરંતુ અમે આજે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી. 4 રાજ્યોમાં MLA ધરાવતી પાર્ટી પર એક કરોડનો આરોપઆ વખતે જે તમામ ઉમેદવારો ઊભા છે, તેઓ પૂરા તન-મન-ધનથી આમ આદમી પાર્ટી સાથે જનતાની સેવામાં જોડાયેલા છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે બહુમત પણ આવશે અને સુરતમાં જનતાનું સૌથી સારું કામ થશે. વધુમાં જણાવ્યુ હતુ કે આજે આંગડિયાનો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ભાજપ અથવા પોલીસે આમ આદમી પાર્ટી પર એક કરોડ રૂપિયાનો આરોપ મૂક્યો છે. ઓફિશિયલી આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે. પંજાબમાં અમારી સરકાર છે, દિલ્હીમાં અમારા ધારાસભ્યો છે અને અમે વિરોધ પક્ષમાં છીએ, ગોવામાં અમારા ધારાસભ્યો છે, ગુજરાતમાં અમારા ધારાસભ્યો છે, કાશ્મીરમાં અમારા ધારાસભ્યો છે. ચાર રાજ્યોમાં ધારાસભ્યો ધરાવતી એક રાષ્ટ્રીય પાર્ટી પર માત્ર એક કરોડનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કરતાં કહ્યું કે ભાજપના વોર્ડ લેવલના સામાન્ય કાર્યકર વર્ષે પાંચ કરોડનો “ભુક્કો” મારી જાય છે. તાલુકા પ્રમુખ કક્ષાના એવા લોકોને હું રૂબરૂ નામ-સરનામાથી ઓળખું છું, અમારા જ જિલ્લામાં એવા લોકો છે જેમણે પચાસ-પચાસ કરોડનો ભુક્કો મારી દીધો છે. અમારી પાસે એના બધા પુરાવા છે. અને હું આ પહેલી વાર જાહેરમાં નથી બોલતો અનેક વખત આ વાત કહી છે. વોર્ડ લેવલ અને તાલુકા પ્રમુખ લેવલના લોકો પચાસ કરોડનું પબ્લિકનું ખાઈ જાય અને એવી ભાજપ પાર્ટી અમારી આખી પાર્ટી પર એક કરોડનો આરોપ લગાડે છે. આવા વાહયાત આરોપો મૂકતા શરમ આવવી જોઈએ. આ તો હાસ્યાસ્પદ આરોપ છે. ‘મહિલા સાથે ધક્કામૂકી કરીને ધમકી આપી કે કપડા ઉતારીને રોડ પર દોડાવીશું’આરોપ મૂકવો હોય તો કંઈક એવો મૂકો કે અમારી ઈજ્જત રહે. અમારી જેવી મોટી પાર્ટી પર આટલો મામૂલી આરોપ મૂકવામાં આવે, તો અમારે તેનો શું જવાબ દેવો? આ તકે આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતુ કે હર્ષ મહેતા નામના ભાજપના ઉમેદવારે મહિલા સાથે ધક્કામૂકી કરીને ધમકી આપી કે કપડા ઉતારીને રોડ પર દોડાવીશું. સુરતની જનતા અને ખાસ કરીને મહિલાઓ ભાજપને માફ નહીં કરે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી સ્લોટર હાઉસનો મુદ્દો ઉઠ્યો છે. જમાલપુરમાં પેનલની જીત બાદ સ્લોટર હાઉસ બનાવવાનું કોંગ્રેસે નાગરિકોને વચન આપ્યું છે. સ્લોટર હાઉસ બનાવવા માટેની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મંજૂરી આપી હોવાનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે. પરંતુ ભાજપના નેતાઓએ ખોટી રીતે રાજકીય મુદ્દો બનાવી સ્લોટર હાઉસ રદ કરાવ્યું હોવાનો ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે. 2 મહિનામાં જ ફરી સ્લોટર હાઉસનો મુદ્દો સળગ્યો છે. કોંગ્રેસે જીત બાદ સ્લોટર હાઉસ બનાવવાનું વચન આપ્યુંઉમેદવારોની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો હતો. પરંતુ ગઈકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મિટિંગ કરી કાર્યકર્તાઓની નારાજગી દૂર કરી છે. જેથી હવે તમામ કાર્યકર્તા એકસાથે આવીને કોંગ્રેસની પેનલને જીતાડવા માટે કામે લાગ્યા છે. જમાલપુરમાં કોંગ્રેસની પેનલ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ કોંગ્રેસની પેનલની જીત બાદ અતિ આધુનિક સ્લોટર હાઉસ બનાવવાનું નાગરિકોને વચન આપવામાં આવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં આવતી હોવાથી સ્લોટર હાઉસની જરૂર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનની વાત કરનાર ભાજપના નેતાઓને પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આડે હાથ લીધા છે. ભાજપના નેતાઓ પાસે વિકાસનો કોઈ મુદ્દો ન હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાન અને ચિકનની લારીઓ બંધ કરાવી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. '30 વર્ષથી ભાજપનું શાસન, છતાં લોકો ઉમેદવારોને વિસ્તારમાં આવવા દેતા નથી'ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, નાગરિકોની રજૂઆત સાંભળવા પણ કોઈ તૈયાર નથી. 30 વર્ષથી ભાજપનું શાસન છે છતાં ચૂંટણી દરમિયાન નાગરિકો ભાજપના ઉમેદવારોને વિસ્તારમાં જવા દેતા નથી. કોંગ્રેસને ગુજરાતની પ્રજાના આશીર્વાદ મળવાના છે. જમાલપુરમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ અનેક વિકાસના કામ કર્યા છે. કોર્પોરેટર હતો ત્યારે અને ધારાસભ્ય છું ત્યારે પણ લોકોના મુદ્દા સરકાર સામે ઉઠાવુ છું. આ ચૂંટણીમાં અમે કોઈ વાદવિવાદમાં પડવા માંગતા નથી. રોજ લોકોને ચોખ્ખું પાણી મળવું જોઈએ, સારા રોડ હોય, ગાર્ડન હોય સહિતની વ્યવસ્થા અમે પૂરી કરી છે. 'ભાજપના લોકોએ રાજકીય મુદ્દો બનાવીને સ્લોટર હાઉસને રદ કરાવ્યું'સ્લોટર હાઉસ બનાવવાની વાત સાથે ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, અમારી રજૂઆત હતી કે જમાલપુરનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર આવેલું છે ત્યારે બીજી તરફ ગીતા મંદિર આવેલું છે. જેની વચ્ચે સ્લોટર હાઉસ આવેલું છે અને તે દૂર કરવામાં આવે અને અન્ય સ્થળે તેને શિફ્ટ કરવામાં આવે. બહેરામપુરા વિસ્તારમાં પ્લોટ પણ ખાલી કરાવીને કોર્પોરેશનને આપ્યો હતો જે જગ્યા પર સ્લોટર હાઉસ બનાવવા માટેની વાત કરવામાં આવી હતી. પરંતુ ભાજપ એ ખોટો મુદ્દો બનાવીને તેને રદ કરાવી દીધું હતું. 'કૌશિક જૈન પાસે ચિકનની લારીઓ બંધ કરાવવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી'ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સ આવી રહી છે. ઇન્ટરનેશનલ લોકો અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ અમદાવાદ આવશે. ત્યારે તે લોકોને જે પ્રમાણેનું ફૂડ જોઈએ તે પ્રમાણેનું ફૂડ આપવું હોય તો આ પ્રકારની તમામ સુવિધાઓ કરવી જરૂરી છે. તેમજ અત્યારે ભાજપ પાસે કોઈ મુદ્દો રહ્યો નથી. ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય કહે છે કે ખાડિયા પાકિસ્તાન બની જશે, અમિત શાહ કહે છે કે જમાલપુર જુહાપુરા બની જશે તેવી વાતો ભાજપના નેતાઓ કરી રહ્યા છે. અમિત ઠાકર ફતેવાડીને જંગલેશ્વર કહે છે. કૌશિક જૈન પાસે ચિકનની લારીઓ-દુકાનો બંધ કરાવવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી. જેથી અમે ફક્ત અને ફક્ત વિકાસની વાતો કરી છીએ જેથી પ્રજાને જે જોઈએ છે તે આપવાની અમે ખાતરી આપીએ છીએ. 'જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવા કોંગ્રેસનો પ્રયાસ રહેશે'જમાલપુર કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે, જમાલપુરમાં સ્લોટર હાઉસ મંજૂર કરવામાં આવ્યું હતું. પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે સ્લોટર હાઉસ કેન્સલ થયું હતું. જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવા કોંગ્રેસનો પ્રયાસ રહેશે. બહાર આવતા લોકોને સરળતા રહે તે માટે વ્યવસ્થા કરીશું. અમે ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને અને ચૂંટણી લડી રહ્યા છીએ. જ્યાં સુધી કટકી ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી.
પેટ્રોલપંપ લૂંટનો મુખ્ય સૂત્રધાર 27 વર્ષે ઝડપાયો:જામનગર LCBએ મધ્યપ્રદેશથી આરોપીને દબોચી લીધો
જામનગર શહેરના લાલપુર બાયપાસ પાસે આવેલા કિર્તિ પેટ્રોલપંપમાં આજથી 28 વર્ષ પહેલાં, વર્ષ 1999માં સશસ્ત્ર ધાડ પાડી રૂ. 1,90,000ની લૂંટ ચલાવનાર ગેંગના મુખ્ય સૂત્રધારને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 1999માં બનેલી આ લૂંટની ઘટનાએ તે સમયે ભારે ચકચાર જગાવી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર (રહે. કાકરાદરા, જી. જાંબુઆ, મધ્યપ્રદેશ) છેલ્લા 27 વર્ષથી પોલીસની ધરપકડ ટાળવા માટે પોતાની ઓળખ છુપાવી નાસતો-ફરતો હતો. નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. પોલીસે આરોપીના વતનના લોકોના ડેટા અને મતદાર યાદીઓ તપાસી 'ડીપ સર્ચ' ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી અલગ-અલગ સમયે હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આશરો લઈ રહ્યો છે. આથી LCBની ટીમે આ રાજ્યોમાં ધામા નાખ્યા હતા. અંતે, મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી બાબુ ઉર્ફે બાબી ડોડીયારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે ભૂતકાળમાં દ્વારકાના સુપ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિરમાં થયેલી લૂંટના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. આ સફળ કામગીરીમાં LCBના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ ડાંગર, અરજણભાઈ કોડીયાતર, કિશોરભાઈ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
દહેગામ તાલુકાના લવાડ - દહેગામ રોડ પર માર્ચ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 30 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત પછી ચાર ચાર હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી પણ યુવકને કાળ ભરખી ગયો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈએ અકસ્માતના આશરે એક મહિના બાદ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મંદિર પાસે એકાએક કૂતરુ આવી જતા બ્રેક મારતા બાઈક સ્લીપપ્રાપ્ત વિગતો અનુસાર મૂળ પંચમહાલના કાલોલ તાલુકાના મેદાપુરા ગામના વતની અને હાલ દહેગામ ખાતે ખેતરમાં મજૂરી કરતો 30 વર્ષીય કમલેશ નરવતભાઈ નાયક ગત તા.25 માર્ચના રોજ રાત્રિના સમયે બાઈક લઈને ખેતરેથી પરત જઈ રહ્યો હતો ત્યારે લવાડથી દહેગામ જતા રોડ પર જોગણી માતાના મંદિર પાસે અચાનક એક કૂતરું આડે આવી જતાં તેણે બ્રેક મારી હતી. જેના કારણે બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને કમલેશને માથા તેમજ કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતા જ તેના મોટા ભાઈ અને મિત્રો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને રિક્ષા મારફતે તેને દહેગામ સરકારી દવાખાને લઈ ગયા હતા. ઇજાની ગંભીરતાને જોતા કમલેશને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.બાદમાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો બાદ પીઠના ભાગે અસહ્ય દુખાવો થતા તેને ગોધરાની સરકારી હોસ્પિટલમાં બતાવતા ખબર પડી હતી કે તેને મણકાના ભાગે ગંભીર ઇજા થઈ છે. 4-4 હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ મોત ત્યારબાદ તેને વધુ ઓપરેશન માટે વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં મણકાનું ઓપરેશન સફળતાપૂર્વક થયા બાદ કમલેશ વધુ સારવાર હેઠળ હતો. જોકે ગત તારીખ 15 એપ્રિલના રોજ રાત્રિના સમયે અચાનક તેની તબિયત લથડી હતી અને ઉલટી થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આમ ચાર ચાર હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી પણ કમલેશને કાળ ભરખી ગયો હતો. આ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે દહેગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
ચૂંટણી ટાણે ભાવનગરનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાએ સત્તાધારી પક્ષને આંચકો અને કોંગ્રેસને મોટી રાહત આપી છે ભાવનગર કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને 'ખોટી' અને 'રાજકીય પ્રેરિત' ગણાવી હાઈકોર્ટે કાયદાકીય કાર્યવાહી પર તાત્કાલિક અસરથી સ્ટે ફરમાવી સામા પક્ષને નોટિસ ફટકારી છે, શું છે સમગ્ર મામલો? જે વ્યક્તિના કથિત અપહરણના નામે ફરિયાદ થઈ છે, તે વ્યક્તિ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી રહ્યો છે કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે તેમ છતાં, આ મામલે કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે, જેને કોંગ્રેસે સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી છે, આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલાએ જણાવ્યું હતું કે, આ આદેશને ન્યાયની જીત ગણાવતા કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ડરાવવાની કોશિશ નિષ્ફળ ગઈ છે, હું ન તો ડર્યો છું, ન તો ઝૂક્યો છું. વરિષ્ઠ વકીલની ધારદાર રજૂઆત અને શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ કાનૂની સફળતાથી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે,હાઈકોર્ટના ચુકાદા શહેર પ્રમુખ લાલભા ગોહિલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમના પર કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણપણે ખોટી અને હાસ્યાસ્પદ હતી. તેમણે ઉમેર્યું કે, ચૂંટણીના વ્યસ્ત સમયમાં મને બે-ત્રણ કલાક સુધી બેસાડી રાખીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હું ડર્યો નથી કે મેં કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યું નથી. તેમણે આ કાનૂની લડાઈમાં સાથ આપવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જેમણે હાઈકોર્ટમાં ત્વરિત અને અસરકારક કાનૂની કાર્યવાહી કરી તથા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સાંસદ જેમણે આ મામલે સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે, સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસનો એક પણ કાર્યકર આવી ધમકીઓથી ડરશે નહીં કે ઝૂકશે નહીં. તમામ કાર્યકરો પક્ષ અને ઉમેદવારોના પ્રચારનું કામ નિડરતાથી ચાલુ રાખશે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી1000થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને રાખીને ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્ત માટે મંદિરમાં જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. લાઇવ આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનો નજારો માણ્યો આટલી વિશાળ સંખ્યામાં પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ LED સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો, જેને જોઈને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પ્રસાદ અને આતિથ્યભક્તોના આ આધ્યાત્મિક પ્રવાસને યાદગાર બનાવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌ ભક્તોને પ્રસાદ, લઘુયજ્ઞ કીટ અને સોમગંગા નિર્માલ્ય જળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસીય આધ્યાત્મિક પ્રવાસઆ 1000થી વધુ ભક્તો સોમનાથ તીર્થમાં ત્રણ દિવસ રોકાશે. આ દરમિયાન તેઓ સોમનાથ મંદિરના ભવ્ય ઈતિહાસ વિષે જાણકારી મેળવશે. આ ઉપરાંત, ભક્તો ભાલકા તીર્થ, રામ મંદિર, ગોલોકધામ તીર્થ અને ત્રિવેણી સંગમ સહિતના અન્ય પવિત્ર સ્થાનોની પણ મુલાકાત લેશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને આતિથ્ય માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
હિંમતનગર તાલુકાના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે ઓવરબ્રીજના સર્વિસ રોડ પર મગફળી ભરેલો એક ઓવરલોડ ટ્રક અચાનક આગની લપેટમાં આવી ગયો હતો. ટ્રકમાં મગફળીની બોરીઓ ઓવરલોડ ભરેલી હોવાને કારણે તે ઉપરથી પસાર થતાં વીજળીના તારને અડકી હતી. વીજ તાર મગફળીની બોરીઓને અડકતાં તણખા ઉડ્યા હતા, જેના કારણે થોડી જ વારમાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આ દરમિયાન, પાછળથી આવતો બીજો ઓવરલોડ ટ્રક સમયસર રોકાઈ જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ટ્રક ચાલક અને વેપારીની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકમાં ભરેલી મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે અને વીજ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને ટ્રક ચાલક અને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.
ખાનગી કંપનીના ડેટા ચોરીનો મામલો:આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી
મહેસાણા ખાતે સાઈ ફિલ્ડ સર્વિસ પ્રા.લિમિટેડ કંપનીના ડેટા અને સોફ્ટવેર સહિત માહિતીની ચોરી કરી કંપનીના કર્મચારી દ્વારા બુકાકા એન્ડ ગેસ પ્રા.લિમિટેડ કંપનીને પહોચતી કરી હોવાની તાજેતરમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેલમાં બંધ આરોપીએ મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. જેલમાં બંધ આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતીવિસનગરના પાલડી ગામના અમિત વિરસંગભાઈ ચૌધરી મહેસાણા સ્થિત સાઈ ફિલ્ડ સર્વિસ પ્રા. લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો.તે દરમિયાન 22 જાન્યુઆરી 2026 થી ફેબ્રુ 2026 દરમિયાનના કંપનીના ડેટા અને સોફ્ટવેર સહિત માહિતીની ચોરી કરી બુકાકા એન્ડ ગેસ પ્રા.લિમિટેડ કંપનીને પહોચતી કરી હતી. આ બાબતની તાજેતરમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી. આ કેસમાં જેલમાં બંધ આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સદર જામીન અરજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ બારોટની દલીલો આધારે સેશન્સ કોર્ટ જજ એ.એલ. વ્યાસે આ ગુનાના આરોપી અમિત વિરસંગભાઈ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.
રાજ્યમાં વધતા તાપમાન અને હીટવેવના ગંભીર પ્રકોપ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તમામ જિલ્લા તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોને તેનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે. વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં ગરમી સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે, નહીં તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બપોરે 12 થી 4 બહાર ન નીકળવા સલાહગરમીથી બચવા માટે નાગરિકોને બપોરે 12થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા, બહાર જવું જરૂરી હોય તો માથું ઢાંકી રાખવા, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી વધુ પ્રમાણમાં પીવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વધારાની કાળજી રાખવા ભાર મૂકાયો છે. જો ચક્કર આવવું, માથાનો દુખાવો, વધુ તરસ કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર, દવાનો પૂરતો જથ્થો રાખવા તાકીદઆરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા માટે મજબૂત તૈયારી પણ શરૂ કરી દીધી છે. 1 માર્ચ 2026થી IHIP પ્લેટફોર્મ દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ અમલમાં મુકાયો છે. હોસ્પિટલોમાં દવાઓ, ORS, IV ફ્લુઈડ્સ અને આઈસ પેકનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 5 બેડ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 2 બેડના ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર રાખવામાં આવ્યા છે. ઉનાળામાં વધતા વીજ વપરાશને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં ઇલેક્ટ્રિક લોડ ઓડિટ, અગ્નિ સુરક્ષા અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ગરમીને હળવાશથી ન લેતા સાવચેતી રાખે અને માર્ગદર્શિકાનું પાલન કરીને પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખે.
આજના આધુનિક યુગમાં પણ ઘરેલું હિંસા અને નશાખોરી સામાજિક દૂષણ બનીને અનેક પરિવારોને વેરવિખેર કરી રહી છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી હતી.જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનના અસરકારક કાઉન્સેલિંગને કારણે એક હસતો-રમતો પરિવાર બરબાદ થતા બચી ગયો છે. પતિ દારુ પીધા બાદ ઘરે પત્નીને માનસિક ત્રાસ આપતો હતોઆ ઘટનાની વિગત મુજબ એક પીડિત મહિલાએ લાચારીની સ્થિતિમાં 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. મહિલાએ રડતા અવાજે જણાવ્યું કે, તેના પતિ કેફી દ્રવ્યોના રવાડે ચડી ગયા છે. નશો કરીને ઘરે આવ્યા બાદ તેઓ પત્ની સાથે મારપીટ કરે છે અને સતત માનસિક ત્રાસ આપે છે. આ કેસમાં કરુણતા એ હતી કે આ દંપતીએ એક જ ગામમાં રહીને પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્નને કારણે પિયર પક્ષે સંબંધો તોડી નાખ્યા હતા. જેના કારણે મહિલા પાસે કોઈનો સહારો રહ્યો નહોતો. એક વર્ષથી ધંધો મૂકીને નશાના રવાડે ચડ્યો હતોઆ ઘટનાની જાણ થતાં જ 181 અભયમની ટીમ પીડિત મહિલાના ઘરે પહોંચી હતી. પીડિત મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ સાસુ સસરાથી અલગ રહે છે અને તેમને બે નાનાં બાળકો છે. પતિ છેલ્લા એક વર્ષથી કામ ધંધામાં અનિયમિત થઈ ગયા હતા. નશાની આદતને કારણે ઘરમાં પૈસા આપવાને બદલે તેઓ પત્ની પાસે જ પૈસાની માંગણી કરતા હતા. બાળકો નાના હોવાથી મહિલા પોતે કમાવા જઈ શકતી નહોતી.પરિણામે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું . અભયમે પતિને પરિવારની સ્થિતિ સમજાવીને કાઉન્સેેલિંગ કર્યુંબાદમાં અભયમની ટીમે મામલાની ગંભીરતાને સમજીને બંને પક્ષોને સામસામે બેસાડીને સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. ટીમે મહિલાના પતિને કડક શબ્દોમાં કાયદાકીય પાઠ ભણાવ્યા હતા અને તેને સમજાવ્યું હતું કે તેનું આ વર્તન તેને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. ઉપરાંત પતિને અહેસાસ કરાવ્યો હતો કે નશાને કારણે તે માત્ર પોતાનું સ્વાસ્થ્ય જ નહીં પરંતુ પોતાના માસૂમ બાળકોનું ભવિષ્ય પણ અંધકારમાં ધકેલી રહ્યો છે. આખરે અભયમ ટીમના કાઉન્સેલિંગને અંતે પતિના હૃદયમાં પસ્તાવાની લાગણી જન્મી હતી. તેણે પોતાની ભૂલનો સ્વીકાર કરીને ભવિષ્યમાં ક્યારેય કેફી દ્રવ્યોનું સેવન ન કરવાની અને પરિવારની જવાબદારી નિભાવવાની ખાતરી આપી હતી. આમ અભયમના કારણે એક વિખેરાતો પરિવાર ફરી એકવાર સુખદ સમાધાન સાથે એક થયો હતો.
વડોદરા શહેરમાં “નશામુક્ત વડોદરા” અભિયાન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે શહેર SOG કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલ પ્રતાપનગર ખાતે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ અને દવાઓનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા તેમજ નાર્કોટિક્સ સંબંધિત કેસોમાં વધારો કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મેડિકલ અને ફાર્માસ્યુટિકલ દુકાનોમાં ચેકિંગ વધારવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે શહેર એસ.ઓ.જી. પીઆઇ બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ પર ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન વાડી વિસ્તારમાં આર.વી. દેસાઈ રોડ પર આવેલા “પ્રતાપનગર મેડિકલ” સ્ટોર પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા મેડિકલ સ્ટોરમાંથી ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કફ સીરપ અને અન્ય દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વિવિધ પ્રકારની નશાયુક્ત કફ સીરપ અને ગોળીઓ મળી આવી હતી. આ ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્ટોક રજીસ્ટર ચકાસતા કોઈપણ પ્રકારનો રજીસ્ટર જાળવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ સખત કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, આ વખતે દૃશ્યો કંઈક અલગ જ છે. શહેરના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ ઝોનમાં પ્રચાર માટે નીકળેલા ભાજપ, કોંગ્રેસ અને 'આપ'ના ઉમેદવારોને મતદારોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી રહ્યા છે. ખાસ કરીને શાસક પક્ષ ભાજપ સામે લોકોમાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે. લોકોએ ફરિયાદો છોડીને ઉમેદવારોને ઘેરવાનું શરુ કરી દીધુ હતુંસુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે પરંપરાગત પ્રચારના બદલે 'વિરોધનો પ્રચાર' વધુ જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં સ્થિતિ સરખી જ છે. લોકોએ હવે માત્ર ફરિયાદો કરવાનું છોડીને સીધા ઉમેદવારોને ઘેરવાનું શરૂ કર્યું છે. રસ્તા, ગટર, પાણી અને સરકારી શાળાઓ જેવી પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં વર્ષોથી જમા થયેલો ગુસ્સો હવે ચૂંટણી સમયે બહાર આવી રહ્યો છે. શાસક પક્ષ સામે વિરોધનું પ્રમાણ સૌથી વધુ છે, જ્યારે કોંગ્રેસને તેની નિષ્ક્રિયતા બદલ અને આપને આંતરિક જૂથવાદ માટે સાંભળવું પડી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ જે રીતે આગળ વધી રહ્યો છે, તેને આ 4 સ્ટેપમાં સમજી શકાય છે: ભાજપના ઉમેદવારોની ફજેતીપાંડેસરા-ભેસ્તાન વિસ્તારના વોર્ડ-28માં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદ પટેલ જ્યારે કૈલાશનગરમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક રહીશ મનીષે વીડિયો બનાવતા આક્ષેપ કર્યો હતો કે, આ ચોર લોકો વોટની ભીખ માંગતા આવ્યા છે. પાણી ભરાવાની સમસ્યા અને ગેરકાયદે બાંધકામોની ફરિયાદો છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોએ નેતાઓને ખખડાવ્યા હતા. એેવી જ રીતે વોર્ડ-11 (અડાજણ-ગોરાટ) માં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાની ગાડી પર નંબર પ્લેટ ન હોવાથી અને 'ગાર્ડન' લખેલું હોવાથી લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ પૂછ્યું કે જો સામાન્ય જનતા આવી ભૂલ કરે તો પોલીસ 'આતંકવાદી' જેવો વ્યવહાર કરે છે, તો નેતાઓ માટે કાયદો અલગ કેમ? કોંગ્રેસ સામે મહિલાઓનો આક્રોશવોર્ડ-18 (લિંબાયત-પરવટ-કુંભારીયા) ના માધવબાગ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોને આશા હતી કે ભાજપના વિરોધનો તેમને લાભ મળશે. જોકે, ત્યાંની મહિલાઓએ કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. મહિલાઓએ સવાલ કર્યો કે, 35 વર્ષથી ભાજપ સત્તા પર છે છતાં કશું કરી શકી નથી, તો તમે વિપક્ષમાં રહીને શું કર્યું? હવે તમે આવીને કયો મોટો ફેરફાર કરી દેશો? આ ઘટનાએ વિપક્ષની મજબૂતી પર સવાલો ઉભા કર્યા છે. ટિકિટ ફાળવણી અને જ્ઞાતિવાદનો ભડકોસુરતના રાજકારણમાં જ્ઞાતિવાદ હંમેશા મહત્વનો રહ્યો છે. વોર્ડ-10 (અડાજણ-પાલ-ઇચ્છાપોર) માં ભાજપના સમર્પિત મતદાર ગણાતા કોળી પટેલ અને કણબી સમાજમાં ભડકો થયો છે. અહીં સ્થાનિક કાર્યકરોની ઉપેક્ષા કરી બહારના મીનાક્ષી પાપૈયાને ટિકિટ અપાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ, અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી સમાજે પણ બેઠક યોજીને ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સમાજનો આક્ષેપ છે કે વર્ષોથી ભાજપની પડખે રહેવા છતાં તેમને કોઈ રાજકીય પ્રતિનિધિત્વ કે મહત્વ આપવામાં આવતું નથી. કોટ વિસ્તારમાં કોરોના ના હિસાબ માંગતી જનતાવોર્ડ-13 (વાડીફળીયા-નવાપુરા) ના લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ સણસણતો સવાલ કર્યો કે, કોરોના અને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં જ્યારે અમે મરતા હતા ત્યારે તમે ક્યાં હતા? હવે કયા મોઢે મત માંગવા આવ્યા છો? લોકોએ તેમને સમાજની તકલીફમાં ઉભા ન રહેવા બદલ પ્રચાર કરતા અટકાવી દીધા હતા. વરાછા અને કતારગામ જેવા ગઢમાં જ ગાબડાં પડ્યાસૌરાષ્ટ્રવાસીઓના ગઢ ગણાતા વરાછા અને કતારગામમાં પણ સ્થિતિ નાજુક છે. વોર્ડ-3 માં 'પાસ' ના પૂર્વ નેતા અને હવે ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથિરીયાનો ઉગ્ર વિરોધ થયો હતો. રસ્તાના પ્રશ્નો પૂછતી મહિલાઓ સામે નેતાઓએ વીડિયો ઉતારવાનો ઇનકાર કરતા મામલો વધુ બિચક્યો હતો. કતારગામના વોર્ડ-7માં ભાજપના રઘુ ખુંટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રહીશોએ વીડિયો વાયરલ કર્યા હતા. જ્યારે વોર્ડ-19 માં પૂર્વ ટીપી કમિટી ચેરમેન નાગર પટેલને સી.સી. રોડના પ્રશ્ને લોકોએ ઉધડો લીધો હતો. 2011માં 96 લાખ ભર્યા છતાં સ્થાનિકોને પાણીના ફાંફાંસૌથી મોટો વિરોધ વેસુની 'આશીર્વાદ વિલા' સોસાયટીમાં જોવા મળ્યો છે. વોર્ડ-22 ના આ રહીશોએ 2011 માં 96 લાખ રૂપિયા ભર્યા હોવા છતાં આજે પણ તેમને પાણીની સુવિધા મળી નથી. ટી.પી. સ્કીમમાં ફેરફાર કરી સોસાયટીના મંજૂર રોડ ખાનગી પ્લોટમાં ફેરવી દેવાતા 2500 રહીશોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કર્યો છે અને પ્રચાર માટે આવતા ભાજપના નેતાઓને સોસાયટીમાંથી બહાર કાઢી મૂક્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા 'આપ'નું અધિકાર પત્ર જાહેર કરવામાં આવ્યું છે. અગમ ચૂંટણીમાં રાજકોટ મહાનગર પાલિકામાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અધિકાર સાથે રાજકોટને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવવા જાહેરાત કરી છે જેમાં શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સ્પોટેશન, અને રમતગમત ક્ષેત્ર સહીત અલગ અલગ 9 મુદાઓને આવરી લઇ આ અધિકાર પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જો મનપામાં આપ ની સરકાર બનશે તો જાહેર કરેલ અધિકાર પત્ર દરેક પદાધિકારીની ચેમ્બર, તેમજ વોર્ડ ઓફિસમાં લેમિનેટ કરાવીને રાખીશું જેથી જનતા પોતાના અધિકાર અંગે જાણી શકે અને કેટલા કામો થયા કેટલા બાકીનો હિસાબ મેળવી શકે. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના મંત્રી અજિત લોખીલએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજ રોજ આમ આ પાર્ટી દ્વારા અધિકાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે. મનપામાં અમારૂ શાસન આવશે તો અમે જનતાને તેમના અધિકારો માટેનું શાસન પૂરું પાડીશું આ માટે મુખ્ય 9 મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે જેમાં શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સ્પોટેશન, અને રમતગમત ક્ષેત્ર સહીતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. શું છે અધિકાર પત્રના મુખ્ય મુદ્દાઓ અધિકાર નં. 1 શિક્ષણ • પ્રત્યેક વોર્ડમાં વસ્તી પ્રમાણે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉભી કરીશું. રાજકોટમાં જે શાળાઓ જર્જરીત છે તેનું નવિનીકરણ કરીશું. • રાજકોટમાં સારામાં સારી સરકારી કોલેજો ઉભી થાય એ માટેના ઈમાનદાર પ્રયત્નો કરીશું. • પ્રત્યેક વોર્ડમાં E-Books સાથેના જાહેર વાંચનાલયો ઉભા કરીશું જેમાં પુસ્તકો, સામયિકો, કોમ્પ્યુટર વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય. અધિકાર નં. 2 આરોગ્ય• રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વસવાટ કરતા તમામ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપીશું, જે અંતર્ગત કોઈ પણ પ્રકારની વધારાની શરતો વગર કોઈ પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં તમામ બીમારીઓની સારવાર કરવામાં આવશે. • મહોલ્લા ક્લિનિકની જેમ જ રાજકોટમાં Clinic On Wheelની સુવિધા શરુ કરીશું જેમાં એક મોટા વાહનની અંદર સામાન્ય કક્ષાની બીમારીઓની તપાસ માટેની તમામ સુવિધાઓ, દવાઓ અને ડોક્ટર ઉપલબ્ધ હશે. દરેક ઝોનમાં પ્રાથમિક કક્ષાના તમામ ટેસ્ટ, સોનોગ્રાફી, એક્સ-રે વગેરે સુવિધાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરાવીશું. • ભેળસેળયુક્ત ખોરાકને સુનિશ્ચિત કરવા માટે ખાધપદાર્થોના ટેસ્ટીંગ માટે દરેક ઝોન દીઠ ફૂડ ટેસ્ટીંગ લેબ બનાવીશું. • ડ્રગ્સ લેવા માટે હોટસ્પોટ બનેલા ડાર્ક ઝોનને લાઈટ અને CCTV કેમેરાથી સજ્જ કરીશું અને ડ્રગ્સને સંપૂર્ણપણે નાબુદ કરવા માટેના તમામે તમામ પ્રયત્નો કરીશું. અધિકાર નં. 3 વેરાઓ• ઘર વેરો અડધો કરીશું, પાણી વેરો માફ કરીશું. તમામ પ્રકારના વેરાઓની નવેસરથી સમીક્ષા કરીશું. • પાણીના સમયમાં હાલના સમય કરતાં વધારો કરીશું અને પુરા ફોર્સથી પાણી આપીશું. • ભાડે આપેલી પ્રોપટીનો ટેકસ ઓછો કરીશું. અધિકાર નં. 4 પાર્કિંગ અને જાહેર પરિવડન • રાજકોટ શહેરમાં રોડ રસ્તા અને ફુટપાથની ગુણવતામાં સુધારો કરીને ટ્રાફીકની મહાકાય સમસ્યાનું નિરાકરણ કરીશુ. • મહિલાઓ, વિધાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે સીંટી બસમાં મફત મુસાફરીની વ્યવસ્થા કરીશું. • વધુમાં વધુ જાહેર પાર્કિંગ ઉભા કરીશું અને બ્રીજ નીચે બનેલા પાર્કિંગમાં વાહન મુકવાનો કોઈ ચાર્જ વસુલ કરીશું નહીં. • વધુમાં વધુ રીક્ષા સ્ટેન્ડ બનાવીશું અધિકાર નં. 5 પર્યાવરણ • શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તો આ વિસ્તારોમાં પાણીના નિકાલ અને જળ સંચયની યોગ્ય વ્યવસ્થા ઉભી કરીશું. • વૃક્ષોની સંખ્યા બમણી કરીશું. • કચરાને રીસાયકલીંમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ખાતર તથા ગેસમાં રૂપાંતર કરીને આર.એમ.સી.ની આવકમાં વધારો કરીશુ. અધિકાર નં. 6 સંસ્કૃતિ અને રમતગમત • શહેરીકરણને કારણે ઉભા થયેલા માનસિક તણાવ/થાક દૂર કરી ફરી બીજા દિવસ માટે મન પ્રકૃલ્લિત થાય તેવી પ્રવૃત્તિયઓ જેવી કે બાગબગીચા, હળવી કસરતો, લાફીંગ ક્લબ, વોકર્સ ક્લબ, સંગીતને પ્રોત્સાહન આપીશું. • સાંસ્કૃતિ/સામાજીક કાર્યો માટે આર.એમ.સી. સંચાલિત કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમના ચાર્જમાં મહતમ ઘટાડો કરીશું • રાજકોટના મૂર્ધન્ય કવિઓ, સાહિત્યકારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિઓ અને વારસો જળવાય એ માટેની વ્યવસ્થાઓ ઉભી કરીશું. • યુવતીઓ માટે દરેક ઝોનમાં અલગ મહિલા સ્પોર્ટ્સ સંકુલો ઉભા કરીશું. • રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ એકેડેમી ઉભી થાય એ માટેના પ્રયત્નો કરીશું. અધિકાર નં. 7 જનસુવિધાઓ • નગરરાજ બીલ લાગુ કરીને રાજકોટનું બજેટ રાજકોટના નાગરિકોની જરૂરીયાત મુજબ રાજકોટનીશેરીઓમાં બનાવીશું. • પ્રત્યેક વોર્ડમાં એક-એક વોર્ડ ઓફીસ ઉભી કરીને સુવિધાઓનું વિકેન્દ્રીકરણ કરીશું જેથી કરીને લોકોને નજીકમાં જ તેમજ ઝડપથી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે. વોર્ડ ઓફીસ પર નક્કી કરેલા સમયે કોર્પોરેટરો હાજર રહીને લોકોની સમસ્યાઓને સાંભળશે. મહાનગરપાલિકાનો વહીવટ પક્ષની ઓફિસેથી નહી પણ વોર્ડની ઓફિસેથી થશે. • સાંસ્કૃતિક / સામાજીક કાર્યો માટે આર.એમ.સી. સંચાલીત કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમનાં ચાર્જમાં મહતમ ઘટાડો કરીશુ. • રાજકોટના ઘરવિહોણા લોકોની સંખ્યાનું મૂલ્યાંકન કરીને ખરેખર જરૂરીયાતમંદ લોકોને પરવડે એ ભાવે આવાસમાં ઘર ઉપલબ્ધ કરાવીશું. • ઈમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોય તો એનો સર્વે કરીને એને COR આપીશું. અધિકાર નં. 8 ભ્રષ્ટાચાર મુક્તિ અને પારદર્શિતા • ટેન્ડર અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવીશું. • ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી સામાન્ય સભાનું લાઇવ ટેલીકાસ્ટ કરીશું અધિકાર નં. 9 અન્ય • રખડતા પ્રાણીઓ માટે એનીમલ હોસ્ટેલ બનાવીશું જેથી કરીને પ્રાણીઓ અને નાગરિકો બંનેની સુવિધાઓ જળવાઈ શકે. અધિકારી એમને • લારી-ગલ્લાવાળાઓને અને ફેરિયાઓને ઓળખપત્ર આપીને એમને નિયમિત કરીશું, જેથી કોઈ પણ ખોટી રીતે હેરાન ન કરી શકે. સ્ટ્રીટ વેન્ડર્સ રેગ્યુલેશન કાયદાનું ચુસ્ત અમલીકરણ કરાવીશું. • રાજકોટ મહાનગરપાલિકા સાથે કામ કરતાં તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ન્યુનત્તમ વેતન અપાવીશું • ફાયર વિભાગની ખાલી જગ્યાઓ ભરીશું, સાધનોની પૂર્તિ કરીશું તેમજ NOCની વ્યવસ્થા વધુ સારી બનાવીશું. • રાજકોટની જરૂરિયાત પ્રમાણેની યોજનાઓ બનાવીશું. આયાતી યોજનાઓ નહી બનાવીએ.
દક્ષિણ ગુજરાતમાં ઉનાળો હવે આકરો મિજાજ દેખાડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. વધતા તાપમાનને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. સિવિલમાં ખાસ 'હીટવેવ વોર્ડ' તૈયાર, સ્ટાફને અપાઈ ટ્રેનિંગદક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, હીટવેવને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર રખાયો છે. આ વોર્ડમાં વેન્ટિલેટર સહિતની ઈમરજન્સી સુવિધાઓ સજ્જ છે. દર્દીઓની સુવિધા માટે OPD અને ઈમરજન્સી વિભાગમાં 15થી વધુ નવા કુલર લગાડવામાં આવ્યા છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના કેસ હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. ચૂંટણીના માહોલ પર ગરમીનું ગ્રહણઆગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ હીટવેવની અસર રાજકીય ગરમાવા પર પણ પડી શકે છે. બપોરના સમયે પ્રચાર પ્રસારમાં મુશ્કેલી પડી શકે છે અને મતદાનના દિવસે પણ ગરમીને કારણે ટર્નઆઉટ પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. બપોરે 12 થી 3 'નો ગો ઝોન': બાળકો-વૃદ્ધો ખાસ સાચવેડોક્ટરોના મતે બપોરે 12 થી 3 દરમિયાન સૂર્યના કિરણો સીધા અને આકરા હોવાથી લૂ લાગવાની શક્યતા સૌથી વધુ રહે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. જો બહાર જવું અનિવાર્ય હોય તો માથે સફેદ કપડું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મૂકાયાસુરત સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી કરવામાં આવી છે, તે બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારે ત્યાં OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મુકવામાં આવ્યા છે. તદુપરાંત એક 10 બેડનો અલગ રૂમ અથવા વોર્ડ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જો કોઈ પેશન્ટ ઇન કેસ આવે, તો એના માટે ઇમરજન્સીમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને આ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળેલોકોને ખાસ કરીને જણાવવાનું કે, અત્યારે જે હીટવેવ છે જે 12:00 થી 3:00 દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, જેથી કરીને લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો બને ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે એ એમના માટે સલાહભર્યું છે. તેમજ બીજા લોકો પણ ખાસ કંઈ કામ હોય તો જ બહાર નીકળે, અન્યથા આ સમય દરમિયાન નીકળવાનું ટાળે. અને જો ઇન કેસ નીકળવું પડે, તો માથે ટોપી પહેરે કે છત્રી રાખે કે એ રીતનું કંઈ પણ પ્રોટેક્શનની વ્યવસ્થા રાખે. તેમજ પોતાના બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થાય એનું પૂરતું ધ્યાન આપે. જેથી કરીને પાણીથી લઈને છાસ કે કંઈ પણ પીણાં પીને, પોતાની રીતે લીંબુ શરબત, નારિયેળ પાણી, છાસ કંઈ પણ પીને બહાર નીકળે જેથી કરીને એને ડિહાઇડ્રેશનના થાય. હાઇડ્રેશનની પૂરતી કાળજી રાખોઆ હીટવેવમાં ખાસ કરીને ડિહાઇડ્રેશન થવાને કારણે જ પ્રોબ્લેમ થતા હોય છે અને પેશન્ટ સિરિયસ થતા હોય છે. અધરવાઇઝ જો પોતાનું હાઇડ્રેશનનું પૂરતી કાળજી રાખવામાં આવે તો બહુ મુશ્કેલી પડતી હોતી નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને મેં અગાઉ કીધું તેમ 12:00 થી 3:00 દરમિયાન બહાર ન નીકળે તો આ નિવારી શકાય, બચી શકાય હીટવેવથી.
મુળીમાં કોળી ઠાકોર સમાજનું સંમેલન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા અપીલ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું એક સંમેલન યોજાયું હતું. આ સંમેલન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન, મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર રાજુ કરપડા સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુળી તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્યો ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા સહિતના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારો તેમજ કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પોલીસ અશ્વદળનું એક વાન બોટાદથી સેથળી ગામ વચ્ચે પલટી ખાઈ ગયું હતું, જેમાં કેટલાક ઘોડાઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ વાન મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે સાળંગપુર જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અશ્વદળનું વાન પસાર થઈ રહ્યું હતું ત્યારે બાજુમાંથી અન્ય એક વાહન પસાર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે રસ્તા પર વાન પલટી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી સાળંગપુર અને બોટાદના પ્રવાસે આવવાના છે, જેના બંદોબસ્ત માટે આ અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં યુવકની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હત્યારાઓ સામે કડક કાર્યવાહી અને હિન્દુ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. ગત તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ ધંધુકાના હિન્દુ યુવક ધર્મેશભાઈ ગમારા (ભરવાડ) ની અમુક તત્વો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યા છે. માલધારી સમાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ધંધુકામાં છેલ્લા દસ વર્ષમાં હિન્દુ યુવકોની હત્યાની આ પાંચમી ઘટના છે. અગાઉ કિશન ભરવાડની હત્યા બાદ ફરી આવી ક્રૂર ઘટના બનતા સમગ્ર સમાજમાં શોક અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. માલધારી સમાજના આગેવાનોએ રજૂઆત કરી છે કે, ધર્મેશ ભરવાડની હત્યાના આરોપીઓને કડક સજા, જેમાં આજીવન કેદ અથવા ફાંસીની સજાનો સમાવેશ થાય છે, તે ફટકારવામાં આવે. તેમણે હિન્દુઓની જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગુજરાતમાં શાંતિ જાળવી રાખવા માટે સરકાર દાખલારૂપ પગલાં ભરે તેવી માંગ કરી છે. આ આવેદનપત્ર પાઠવતી વખતે માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વાંસદાના ભીનાર ગામે કાચા મકાનમાં આગ:ઘરવખરી, બાઈક ખાખ; પરિવારનો આબાદ બચાવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે ભાઠેલ ફળિયામાં આવેલા એક કાચા મકાનમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં મકાન અને તેમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે પરિવારનો આબાદ બચાવ થયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબુ બહાર ગઈ હતી. આ પ્રચંડ આગમાં મકાનમાં રહેલી ઘરવખરી, અનાજ, પલંગ સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. એટલું જ નહીં, મકાનની પાસે પાર્ક કરેલી એક બાઈક પણ આગની ઝપેટમાં આવી જતાં તે સંપૂર્ણપણે બળી ગઈ હતી. સદનસીબે, જ્યારે આગ લાગી ત્યારે પરિવારના સભ્યો મકાનની બહાર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. જેના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ વાંસદા અને ચીખલી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર બનાવ અંગે વાંસદા ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આગ લાગવાના કારણો અને થયેલા નુકસાન અંગે પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આ રેલી ઝાડેશ્વર ગામ સ્થિત અંબાજી મંદિર ખાતેથી શરૂ થઈ હતી. આ બાઈક રેલી ઝાડેશ્વરના અંબાજી મંદિરથી પ્રસ્થાન કરીને કસક સર્કલ, શીતલ સર્કલ, ભૃગુઋષિ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચબત્તી અને મહમદપુરા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી જંબુસર બાયપાસ ચોકડી ખાતે સમાપ્ત થઈ હતી. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં બાઈક સવાર કાર્યકરો જોડાતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. વિવિધ સ્થળોએ રેલીનું સ્વાગત પણ કરાયું હતું. રેલી દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપના ભ્રષ્ટાચારથી જનતા કંટાળી ગઈ છે. વસાવાએ દાવો કર્યો કે હવે લોકોને વિકલ્પ રૂપે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી ચૂંટણીમાં જનતા ભારે બહુમતથી 'આપ'ના ઉમેદવારોને વિજયી બનાવશે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ પરત ખેંચાવડાવી રાજ્યમાં આશરે 700 બેઠકો બિનહરીફ જીતવાનો પ્રયાસ કરાયો છે. ગણપત વસાવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાએ કહ્યું કે, વિધાનસભામાં ઉઠાવાયેલા કૌભાંડના મુદ્દાઓને કારણે ભાજપના નેતાઓ વારંવાર તેમના નામનો ઉલ્લેખ કરે છે. મણિપુર ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે ભાજપ પર મહિલાઓના મુદ્દે મૌન રહેવાનો આરોપ પણ મૂક્યો. અંતમાં, તેમણે ભાજપના નેતાઓને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંકતા જણાવ્યું કે, અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ બાઈક રેલીને લઈને ભરૂચ શહેરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેને ચૂંટણી પહેલાના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે.
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ, આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026માં મહત્તમ મતદાન થાય તે હેતુથી એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચનું આયોજન કરીને નાગરિકોને મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા. આ બાસ્કેટબોલ મેચમાં ભાગ લેનાર ખેલાડીઓ, તેમના વાલીઓ અને ઉપસ્થિત સૌએ મતદાન કરવા અંગેના શપથ લીધા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહી પ્રક્રિયામાં વધુને વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલીયા અને બાસ્કેટબોલ કોચ સુનીલ ઠાકર દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
ગોધરાના રગડિયા પ્લોટમાં ૩ દિવસથી લો-વોલ્ટેજ:રહીશો પરેશાન, વીજ કેબલમાં આગ લાગી, કાયમી ઉકેલની માગ
ગોધરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજળીની સમસ્યા સર્જાઈ છે. શહેરના રગડિયા પ્લોટ અને હુદા મસ્જિદ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લો-વોલ્ટેજની ગંભીર સમસ્યાથી રહીશો પરેશાન છે. આના કારણે ઘરના ઉપકરણો કામ કરતા બંધ થઈ ગયા છે. ભર ઉનાળે તાપમાન ઊંચું હોવાથી પંખા અને કુલર ન ચાલતા વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓની હાલત કફોડી બની છે. સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે લોડ વધવા અથવા ટેકનિકલ ખામીને કારણે વીજ કેબલોમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ MGVCLની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મોડી રાત્રે વીજ કેબલ બદલવાની તેમજ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે દર ઉનાળામાં આવી પરિસ્થિતિ સર્જાય છે. તેઓ કામચલાઉ રિપેરિંગને બદલે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. જો વહેલી તકે વીજ ક્ષમતા વધારવામાં નહીં આવે અથવા નવું ટ્રાન્સફોર્મર મૂકવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં લોકોમાં રોષ ફાટી નીકળવાની શક્યતા છે.
ભાવનગર શહેરના જાણીતા તબીબ દંપતીના ઘરકંકાસનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જાણીતા જોઈન્ટ એન્ટ સ્પાઈન સર્જન ડોકટર નિસર્સ શાહ સામે તબીબ પત્નીએ દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ જોઈન્ટ એન્ડ સ્પાઈન સર્જન, પત્ની ગાયનેક ડોકટરસમગ્ર બનાવ અંગે નિલમબાગ પોલીસ મથેકથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં તથા મહુવાની એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જોઈન્ટ એન્ડ સ્પાઇન સર્જન તરીકે ફરજ બજાવતા ડોક્ટર નિસર્ગ પંકજભાઈ શાહના લગ્ન 2019ની સાલમાં શહેરના સરદારબાગ સોસાયટીમાં રહેતી અને સરટી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી મેઘા શાહસાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતા. પાંચ મહિના સુધી આ તબીબ દંપતીનો ઘર સંસાર બરાબર ચાલ્યા બાદ ડોક્ટર નીસર્ગે પોતાનું વાસ્તવિક પોત પ્રકાશ્યું હતું અને પત્ની મેઘાને દહેજ મામલે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદનિસર્ગ પોતે ડોક્ટર હોવા છતાં દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય અને દારૂ પી પત્ની મેઘાને માર મારતો હોય તથા મેઘાને તેના પિયરમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ લાવવા માટે સતત દબાણ કરતો હોય અને જો દહેજનો સામાન ન લાવે તો ઘર છોડીને જતા રહેવા દબાણ કરતો હોય આ ત્રાસથી કંટાળી ગયેલી મહિલા તબીબે ઘણા સમય સુધી પોતાનો ઘર સંસાર બચાવવા માટે પતિના અત્યાચાર સહન કર્યા હતા. પરંતુ ત્રણ વર્ષના પુત્ર સાથે પત્ની મેઘાને તબીબે ત્યાજી દેતા મેઘાએ પિતાના ઘરનો આશરો લીધો હતો આ વાત પણ નિસર્ગને ખટકતી હોય તેમ અને મેઘા તથા તેના પિતાની આબરૂને ઠેસ પહોંચાડવા માટે કલેકટરને બે વખત પી સી પી એન ડી ટી હેઠળ ખોટી ફરિયાદો કરી હતી. દરમિયાન નિસર્ગ સાથે સમાધાન વાટાઘાટોના પ્રયત્નો નિષ્ફળ નિવડતા અંતે ડોક્ટર મેઘાએ તબીબ નિસર્ગ પંકજ શાહ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સાબરકાંઠામાં હજયાત્રીઓનું રસીકરણ પૂર્ણ:881 હજયાત્રીઓને 11 દિવસના સમયગાળામાં રસી આપવામાં આવી
સાબરકાંઠા જિલ્લામાં હજયાત્રીઓ માટેનું રસીકરણ અભિયાન પૂર્ણ થઈ ગયું છે. હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં કુલ 881 હજયાત્રીઓને 11 દિવસના સમયગાળામાં રસી આપવામાં આવી હતી. આ માહિતી હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ આપી હતી. ડૉ. જાનીએ વધુમાં જણાવ્યું હતું કે, રસીકરણની કામગીરી 9 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ હતી. પ્રથમ તબક્કામાં, સરકારી કોટા હેઠળ હજ પઢવા જતા 343 યાત્રીઓને 9 થી 12 ફેબ્રુઆરી 2026 દરમિયાન ચાર દિવસમાં રસી આપવામાં આવી હતી. ત્યારબાદ, ખાનગી ધોરણે હજ પઢવા જનાર 538 હજયાત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ યાત્રીઓને 25 ફેબ્રુઆરી 2026 ના રોજ અને પછી 6 એપ્રિલ 2026 થી 22 એપ્રિલ 2026 સુધીના સાત દિવસ દરમિયાન રસી અપાઈ હતી. બુધવારે, રસીકરણના અંતિમ દિવસે 93 હજયાત્રીઓને રસી આપવામાં આવી હતી. આમ, સરકારી અને ખાનગી બંને કોટાના કુલ 881 હજયાત્રીઓને 11 દિવસમાં સફળતાપૂર્વક રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
સુરતના સુભાષનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂએ લગ્નના માત્ર બે જ મહિનામાં આપઘાત કરી લીધો છે. સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. નવાઈની વાત એ છે કે, આજે જ ખ્યાતિના લગ્નને બરાબર બે મહિના પૂર્ણ થયા હતા અને તે જ દિવસે તેણે મોતને વ્હાલું કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આપઘાતનું કારણ અકબંધપોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ખ્યાતિનો પરિવાર પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે સધ્ધર છે. જોકે, ઘટનાસ્થળેથી પોલીસને હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેને કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, અકસ્માતે મોતનો ગુનો નોંધાયોસુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય ખ્યાતિ અભિષેક કેજરીવાલ નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ઓફિસનો સ્ટાફ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉમરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…..
ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડે બાતમીના આધારે સિહોર નજીક નેસડા ગામે હીરનગર રોડ પર પેટ્રોલિંગ દરમ્યાન પસાર થતી કારને રોકી તપાસ કરતા I-20 કારમાંથી ગેરકાયદે ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ રૂ. 7.58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે પૂછપરછમાં દારૂના સપ્લાય અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય શખ્સોના નામ પણ બહાર આવતા આ ઘટનાને પગલે સિહોર પોલીસે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાગતરોજ ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે સિહોર નજીક નેસડા ગામે હીરનગર જવાના રસ્તા પર આઇ-20 કાર નં. GJ-03-HK-3004ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 488 નંગ બોટલો કિંમત રૂ. 2,48,091 ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ. 10,000 અને કાર કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 7,58,096 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી યુવરાજ ઉર્ફે શિવરાજ ખાચર (રહે. લોયાગામ, તા. સાયલા) અને મિલન સોમનાથભાઈ રાઠોડ (રહે. ખોડિયારનગર, સિહોર)ને ઝડપી લઈને વધુ કાર્યવાહી માટે સિહોર પોલીસને સોંપ્યા હતા. સુરેન્દ્રનગરથી જથ્થો લાવીને સિહોર લઈ જતા હતાપકડાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો આલકુ ભાંભડા (રહે. ભાણેજડા, તા. સાયલા) અને ઉદયભાઈ પાંધલ (રહે. થાન, જી. સુરેન્દ્રનગર) પાસેથી લાવવામાં આવ્યો હતો અને તેને નેસડા ગામના વિપુલ કલાભાઈ ડાંગર, સિહોરના મહેશ દેવશીભાઈ જોટાણા તથા જયરાજ શિવાભાઈ મોરીને વેચાણ માટે પહોંચાડવાનો હતો. 7 શખ્સો સામે ગુનો નોંધાયોજે મામલે સિહોર પોલીસે કુલ 7 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(a)(e), 116-B, 81, 83 અને 98(2) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી માત્ર રાજકીય પક્ષો માટે જ નહીં, પરંતુ શહેરના ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પણ આવકનો મોટો સ્ત્રોત બની છે. ઉમેદવારો દ્વારા ડિજિટલ માધ્યમોના ઉપયોગને કારણે ફોટોગ્રાફર્સ અને વિડિયોગ્રાફર્સને માત્ર 15 દિવસમાં ₹50,000 થી ₹60,000 સુધીની કમાણી થઈ રહી છે. મહાનગરપાલિકામાં હદ વિસ્તરણ બાદ દરેક વોર્ડમાં મતદારોની સંખ્યા 15,000ને વટાવી ગઈ છે. આટલા મોટા જનસમુદાય સુધી રૂબરૂ પહોંચવું ઉમેદવારો માટે પડકારજનક બન્યું છે. ઉપરાંત, બપોરની ગરમીમાં ડોર-ટુ-ડોર પ્રચાર મુશ્કેલ બનતા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ ડિજિટલ માધ્યમોનો સહારો લીધો છે. ઉમેદવારો સોશિયલ મીડિયા રીલ્સ, પ્રોફેશનલ ફોટોગ્રાફી અને ડિજિટલ બેનર દ્વારા પ્રચાર કરી રહ્યા છે. આનાથી તેઓ ઓછા સમયમાં વધુ મતદારો સુધી પહોંચી શકે છે અને પોતાના સંદેશને અસરકારક રીતે રજૂ કરી શકે છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર સુનિલ રઘુનાથ પાટીલે જણાવ્યું કે, અમે વોર્ડ નંબર 10માં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છીએ અને જનતાનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી દ્વારા પ્રમોટ કરાયેલ 'ડિજિટલ ઇન્ડિયા' આજે ખૂબ જ અસરકારક રીતે ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અમે પ્રમોશનની કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું કે, આજના યુગમાં મોબાઈલ દરેકના હાથમાં હોવાથી, ડિજિટલ માધ્યમો જન-જન સુધી પહોંચવાનું ઉત્તમ માધ્યમ બન્યા છે.
સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ:બહારના રાજકીય પદાધિકારીઓને મતવિસ્તાર છોડવા આદેશ
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એપ્રિલ-2026માં યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના દિશાનિર્દેશો મુજબ, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઈ હેઠળ, જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં 24 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. આ પ્રતિબંધ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા લાગુ પડશે. આ સમયગાળા દરમિયાન, જે તે મતવિભાગના મતદાર ન હોય તેવા બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો અને અન્ય પ્રચારકોએ તાત્કાલિક ધોરણે ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી દેવાનો રહેશે. આ જાહેરનામું 24 એપ્રિલ, 2026 થી 26 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં BRTS બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે બસ ફ્લેટમાં ઘૂસી ગઈ હતી. ફ્લેટની દીવાલ તોડીને બસ અંદર જતી રહેતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. જોકે સવારના સમયે ઘટના બની હતી જેના કારણે પાર્કિંગમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જવામાં આવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો અને સોસાયટીના લોકોએ બસની ચાવી લઈ લીધી હતી. બસની બ્રેક ન વાગી હોવાના કારણે આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે BRTS તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા લેવામાં આવશે. બ્રેક ફેલ થતા બસ સોસાયટીની દીવાલમાં ઘૂસી ગઈમળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યાની આસપાસ ચાંદખેડા બીઆરટીએસ બસના સર્વિસ સ્ટેશન ડેપોમાંથી બસ બહાર કાઢી અને લઈ જવામાં આવી રહી હતી. બસ ડેપોમાંથી બહાર નીકળી હતી ત્યારે પ્રહલાદ પાર્ક પાસે બસ પહોંચતા તેની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે બસ રોડ પરથી સીધી ફ્લેટના દિવાલ તરફ અથડાઈ ગઈ હતી. બસ ફ્લેટની દિવાલ તોડી અને ફ્લેટના મુખ્ય ભાગ પાસે અથડાઈ હતી જેના કારણે થઈને ફ્લેટનું ભારે નુકસાન થયું હતું. વહેલી સવારે જોરદાર અવાજ આવવાની સાથે જ સ્થાનિક લોકો દોડીને બહાર આવી ગયા હતા. બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયોઅમદાવાદ જનમાર્ગ લિમિટેડના અધિકારી રાહુલ શર્માએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ટ્રાવેલ ટાઈમ ઓપરેટરની બસ હતી અને જે પણ નુકસાન થયું છે તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે કરીને આપશે. બસ ઓપરેટરને 2 લાખ રૂપિયા નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચાંદખેડા વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડનું વર્કશોપ આવેલું છે જે વર્કશોપમાં બસ ના કારણે અકસ્માતની આ ચોથી ઘટના બની છે અગાઉ પણ ત્રણથી ચાર વખત અકસ્માતની ઘટના બની છે. BRTS તંત્ર દ્વારા અગાઉ પણ આવી ઘટના બનતા દીવાલ ફરીથી બનાવી દેવામાં આવે છે પરંતુ આ વખતે પણ આ ઘટના બનતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નવી દીવાલ બનાવી દેવા માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી દરમિયાન એક અનોખી પહેલ કરી હતી. તેમણે કુલ 18 ભોગ બનનાર અરજદારોને રૂબરૂ બોલાવી પોલીસની કામગીરી અને તેમની અરજીઓ પર થયેલી કાર્યવાહી અંગે સીધી માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન, SP ખરાતે અરજદારો સાથે કલાકો સુધી વાર્તાલાપ કર્યો હતો. તેમણે અરજીઓમાં થયેલી તપાસની કામગીરી અને કાર્યવાહી અંગે અરજદારોનો સંતોષ કે અસંતોષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્રજા પ્રત્યે પોલીસની ફરજને વધુ મજબૂત બનાવવાનો હતો. ચર્ચા દરમિયાન, અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા અત્યાચાર, મિલકત સંબંધિત વિવાદો અને પારિવારિક સમસ્યાઓ જેવી વિવિધ પ્રકારની અરજીઓ રજૂ થઈ હતી. SP ખરાતે દરેક અરજીમાં થયેલી તપાસ અને કામગીરી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. કેટલીક અરજીઓ બાબતે, SP સંજય ખરાતે સંબંધિત અધિકારીઓને યોગ્ય, નિષ્પક્ષ અને સમયસર તપાસ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ પહેલથી અરજદારોને સીધો ન્યાય મળવાની આશા જાગી છે.
મહીસાગરના બાલાસિનોર GIDC ખાતે આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારમાં કામ કરતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતા જ બાલાસિનોર નગરપાલિકાની ફાયર ટીમ બે ફાયર ફાઇટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને તેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ સર્જાયો હતો. હોમગાર્ડ ઓફિસમાં ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા કરવાની પ્રક્રિયા થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. બેલેટ પેપરમાં એક જ વ્યક્તિ 50 - 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી તપાસ કરવા પોલીસ અરજી કરી છે. જેમાં હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ અરજી કરવામાં આવી છે. જોકે હોમગાર્ડની ઓફિસને તાળું મારીને ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. એક જ વ્યક્તિ 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપકોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર પર એક જ વ્યક્તિ 50થી 60 સિક્કા મારવામાં આવતા હતા. જેથી બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હોમગાર્ડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતાં. તેમજ તપાસ કરવા ચૂંટણી અધિકારીની હાજરી વગર જ બેલેટ પેપરથી સિક્કા મારવામાં આવતા હોવાથી કોંગ્રેસે હોબાળો કર્યો હતો. જો કે તે બાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ ભાજપ સાથે જોડાયેલો હોવાથી ખોટું ચાલતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની કોંગ્રેસે માંગ કરીકોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. જેમાં પંકજ રાઠોડ, ગૌતમ પરમાર, વિજય જાદવ બેલેટ પેપરમાં સિક્કા મારતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ અને જવાબદાર ચૂંટણી અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. યોગ્ય તપાસ કરી જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. 'અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે'કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે બેલેટ પેપરમાં સિક્કા મારતા હતા. જેમાં માત્ર હોમગાર્ડનું જ મતદાન થતું હતું. તેમજ હોમગાર્ ના વડા બંધારણીય રીતે સરકારના કાર્યકરો છે. અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે. ગઈકાલે એક વ્યક્તિ 50થી 60 સિક્કા મારતા હતા. જેથી તપાસ કરવા માટે અમે અંદર ગયા અને વીડિયો ઉતારીને પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી તો હતા જ નહીં. જેથી વોર્ડના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતાં. જેથી મટીરીયલનો નાશ ન થાય તે માટે તાળું મારી દેવામાં આવ્યું હતું. જે બાદ તેની ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. ચૂંટણી અધિકારી વગર જ ખોટી રીતે બેલેટ પેપરથી મતદાન થતું હોવાથી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. 'સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ'વધુમાં નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, જો પોલીસ અધિકારી યોગ્ય રીતે તપાસ કરે તો ઘણું બધું સામે આવી શકે છે. અધિકારી હાજર ન હોવા છતાં મટીરિયલ કઈ રીતે આવ્યું તે સૌથી મોટો સવાલ છે. સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ચૂંટણી પંચના અધિકારી વગર મતદાન ન થઈ શકે તો આટલી હદે ખોટું ચાલી રહ્યું છે. હોમગાર્ડ ઓફિસમાં જ જો આ રીતે ખોટું ચાલતું હોય તો અમારું માનવું છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. પોલીસ ફરિયાદમાં ત્રણ સિક્કાવાળા વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી છે. હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમજ જવાબદાર ચૂંટણી અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે માટે પાંચ નામ આરોપી તરીકે આપવામાં આવ્યા છે. નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો સાચી હકીકત સામે આવશે. કોઈનો મત અન્ય કોઈ વ્યક્તિ આપી દે તે સૌથી મોટું પાપ છે. નિષ્પક્ષ તપાસ થશે તો ઘણા બધા લોકો જેલમાં પણ જશે.
પાટણ પોલીસે રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હનીટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકી મેટ્રિમોનિયલ એપ દ્વારા પુરુષોને ફસાવી ખંડણી ઉઘરાવતી હતી. પોલીસે સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સંખારી ગામની સીમમાં ફરિયાદી પાસેથી પડાવેલ નાણાંની વહેંચણી કરવા એકઠા થયા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા, જેમણે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કરણજી કનુજી માધાજી ઠાકોર (રહે. ખિમિયાણા, પાટણ), દિનેશભાઇ હિરાભાઇ મેવાભાઇ રબારી (રહે. લેલાવા, બનાસકાંઠા) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનો સમાવેશ થાય છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી મુજબ, ટોળકીની એક મહિલા સભ્ય 'જીવનસાથી' એપ પર ખોટા નામથી ફેક એકાઉન્ટ બનાવી લગ્ન કરવા ઈચ્છુક પુરુષોનો સંપર્ક કરતી હતી. ત્યારબાદ મહિલા તેને કોઈ અંતરિયાળ વિસ્તારમાં મળવા બોલાવતી હતી. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ ત્યાં પહોંચે ત્યારે અન્ય આરોપીઓ ત્યાં આવી પોતે મહિલાના ભાઈ હોવાની ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને માર મારી અને ધમકાવીને મોટી રકમની માંગણી કરતા હતા. જો નાણાં ન મળે તો તેને બદનામ કરવાની ધમકી આપી તેનું અપહરણ કરતા અને રકમ મળી ગયા બાદ તેને છોડી મુકતા હતા. રણુંજ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.ટી.ગઢવી અને સ્ટાફના માણસોએ આ સફળ કામગીરી કરી આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદમાં શ્રી ગિરિરાજ જૈન સંઘ દ્વારા શ્રી પ્રગટ પ્રભાવી પ્રાશ્વૅનાથ જિનાલયની 36મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૈશાખ સુદ છઠ, બુધવાર, 22 એપ્રિલ, 2026ના રોજ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 6:45 કલાકે ગિરિરાજ દેરાસરના બોર્ડ પાસેથી વાજતેગાજતે સામૈયું કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે 7:15 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ શુભ અવસરે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંઘ સ્વામિવાત્સલ્યનું આયોજન કરાયું હતું. શ્રી સંઘ તથા સ્વામિવાત્સલ્યના કાયમી અને આ વર્ષના સહાયક ફંડના લાભાર્થીઓ તરફથી સવારે 11:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી ગિરિરાજ દેરાસરના સ્વામિવાત્સલ્ય હોલમાં ભોજન પ્રસાદ યોજાયો. વૈશાખ સુદ સાતમ, ગુરુવાર, 23 એપ્રિલ, 2026ના રોજ ઉપરના ગભારાના મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની સાલગીરી પણ ઉજવવામાં આવશે. આ દિવસે પણ સંઘ સ્વામિવાત્સલ્યનું આયોજન કરાયું છે. શ્રી સંઘ તથા શ્રી સંઘ સ્વામિવાત્સલ્યના કાયમી તેમજ આ વર્ષના સહાયક ફંડના લાભાર્થીઓ તરફથી સવારે 11:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી ગિરિરાજ દેરાસર ખાતે સ્વામિવાત્સલ્ય હોલમાં ભોજન પ્રસાદ યોજાશે.
હારીજમાં વેપારી લૂંટ કેસ ઉકેલાયો, 6 આરોપી ઝડપાયા:2.80 લાખની લૂંટ કરનાર ગેંગના 5 આરોપી મધ્યપ્રદેશના
હારીજ ટાઉન પોલીસ મથકની હદમાં વેપારી પાસેથી છરીની અણીએ 2.80 લાખની લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. હારીજના મેઈન બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા જયંતિલાલ ભુરાલાલ ઠક્કર રાત્રિના સમયે પોતાની દુકાન વધાવી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સોસાયટીના ગેટ પાસે બે અજાણ્યા ઇસમોએ તેમને આંતરી છરી બતાવી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ વેપારીના થેલાના પટ્ટા છરીથી કાપીને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ જિલ્લા પોલીસ વડા અને હારીજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. મહેરીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ હારીજમાં રહી ચુકેલો અને હાલ વિસનગરમાં રહેતો દીપક સિંધી નામના શખ્સે બહારથી માણસો બોલાવી આ લૂંટને અંજામ આપ્યો છે. બાતમીના આધારે વિસનગર ખાતે શ્રીનાથનગર સોસાયટીમાં તપાસ કરતા દીપક સિંધી તેના ઘરે અન્ય સાગરીતો સ્નેહલ શાહ, સંજુ ડોડિયા, વરૂણ પ્રજાપત, ચિરાગ બસોડ અને જય બલૈઈ સાથે મળી આવ્યો હતો. પોલીસે આ તમામ 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમ 2.50 લાખ, 5 મોબાઈલ ફોન, 1 એક્ટિવા, 1 મોટરસાયકલ અને 2 નંબર પ્લેટ મળી કુલ 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે લૂંટમાં વપરાયેલ મોટરસાયકલ હિંમતનગરના મોતીપુરા બ્રિજ પાસેથી અને એક્ટિવા ગાંધીનગરના રાંધેજા પાસેથી ચોરી કરવામાં આવ્યું હતું. આ વાહન ચોરી અંગે પણ હિંમતનગર અને પેથાપુર પોલીસ મથકે ગુના નોંધાયેલા છે. પકડાયેલા 6 આરોપીઓ પૈકી દીપક સિંધી સિવાયના તમામ 5 આરોપીઓ મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રામુ ઠાકુરને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં ક્લોરિનયુક્ત અને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. હાલમાં જ માર્ચ મહિનામાં મનપાએ લીધેલા 8901 નમૂનાઓનો રિપોર્ટ આવ્યો છે. જે પૈકી કેટલાક વિસ્તારોમાં વિતરણ કરાતું પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા પાણીના નમૂનાઓ પૈકી 5 સ્થળે બેક્ટેરિયાની હાજરી મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, બીજીતરફ દૂષિત પાણીને લઈ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. જોકે તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાનપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ તંત્ર દ્વારા ગત માર્ચ માસ દરમિયાન શહેરના ત્રણ ઝોન વેસ્ટ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાંથી કુલ 8901 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં રેસિડ્યુઅલ ક્લોરિનના કુલ 8577 નમૂના, બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 295 નમૂના અને કેમિકલ એનાલિસિસ માટે 29 નમૂનાનો સમાવેશ થાય છે. આ નમુનાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાંથી લેવાયેલા 149 બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓમાંથી 5 સ્થળે પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા 75 નમૂનાઓ પૈકી 2 સ્થળે નમૂના ફેઈલ ગયા છે. આમ, શહેરના કુલ 7 જેટલા સ્થળોએ પાઈપલાઈન મારફતે પહોંચતું પાણી પીવાલાયક નહીં હોવાનું સાબિત થયું છે. મહાપાલિકા દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલા નમૂના રેસિડ્યુઅલ ક્લોરિન નમૂના 8577 બેક્ટેરિયોલોજીકલ નમૂના 295કેમિકલ સેમ્પલ 29કુલ નમૂના 8901વેસ્ટ ઝોન: 149 માંથી 5 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા.સેન્ટ્રલ ઝોન: 75 માંથી 2 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉનાળા દરમિયાન પાણીની પાઈપલાઈનમાં લીકેજ અથવા ફિલ્ટર પ્લાન્ટમાં ખામી સર્જાવાથી બેક્ટેરિયાનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. જો ક્લોરિનેશન યોગ્ય માત્રામાં ન કરવામાં આવે તો આ પાણી રોગચાળાનું મુખ્ય કારણ બને છે. રાજકોટ જેવા મહાનગરમાં જ્યાં લાખો લોકો મનપાના પાણી પર નિર્ભર છે, ત્યાં આ પ્રકારની બેદરકારી ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જી શકે તેમ છે. હાલમાં જ્યારે 7 સ્થળે બેક્ટેરિયા મળી આવ્યા છે, ત્યારે તંત્રએ યુદ્ધના ધોરણે જે-તે વિસ્તારોની પાઈપલાઈન ચેક કરવી જોઈએ અને ક્લોરિનનું પ્રમાણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સમગ્ર મામલે મહાપાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં નમૂના ફેલ ગયા છે ત્યાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પાઈપલાઈનમાં જો ક્યાંય ભંગાણ હોય તો તેને રિપેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ પમ્પિંગ સ્ટેશનો પર ક્લોરિનેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. રહીશોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય તો તુરંત મનપાના કંટ્રોલ રૂમમાં જાણ કરવી જેથી તરત પગલાં લઈ શકાય. આગામી અઠવાડિયામાં ફરીથી આ બધા વિસ્તારોમાંથી રિ-સેમ્પલિંગ કરી ફરી પાણીની શુદ્ધતાની ખાતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાલ ચૂંટણીનો માહોલ છે અને આચારસંહિતા અમલી છે, ત્યારે નાગરિકોનો આરોપ છે કે તંત્ર આ બાબતે ઉદાસીનતા દાખવી રહ્યું છે. અનેક વોર્ડના રહીશો લાંબા સમયથી વાસવાળું અને ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા હસ્તકના ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનોની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે જળ વિતરણ વ્યવસ્થામાં પ્રદૂષણ ભળે છે. દૂષિત પાણીના વપરાશને કારણે ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ જેવા કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણીની આચારસંહિતાનું બહાનું ધરીને મનપા દ્વારા સાપ્તાહિક રોગચાળાના આંકડાઓ જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
જૂનાગઢના કેશોદમાં ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કેશોદના ભરચક ગણાતા ચાર ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર જ કેક કાપવામાં આવી, ફટાકડાં ફોડ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતાં. જેના કારણે સામાન્ય જનતામાં અનેક ચર્ચાઓ જાગી છે. આ કાર્યક્રમમાં માત્ર જિલ્લા પ્રમુખ જ નહીં પરંતુ કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિત અનેક ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા. કેશોદ એસપી બી. સી. ઠક્કર સાથે ભાસ્કરે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરશું. શિસ્તબદ્ધ ભાજપના નેતાઓ શું બર્થ ડે ઉજવણીમાં કાયદા ભૂલ્યા? સામાન્ય રીતે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જવાબદાર હોદ્દેદારો જ્યારે જાહેર માર્ગો પર આ પ્રકારે એકત્રિત થઈને ઉજવણી કરે તો સ્થાનિકોમાં સવાલો ઉભા થયા છે. એક તરફ જ્યારે વહીવટી તંત્ર દ્વારા કડક નિયમોના પાલનની વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે સત્તાધારી પક્ષના જ જવાબદાર પ્રતિનિધિઓની હાજરીમાં ફટાકડા ફોડીને જાહેરમાં ધાંધલ-ધમાલ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફટાકડાના ગુંજતા અવાજો અને રસ્તા પર લાગેલી ભીડને કારણે મોડી રાત્રે શાંતિનો ભંગ થયો હતો અને કાયદાનું જાહેરમાં ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. પોલીસ સામાન્ય લોકો પાસે માફી મગાવતા વીડિયો બનાવતી હોય છેસૌથી મોટો પ્રશ્ન અત્યારે પોલીસ તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યો છે. અગાઉ અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે જ્યારે કોઈ સામાન્ય નાગરિક રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરે કે હરકત કરે ત્યારે પોલીસ તુરંત હરકતમાં આવી જતી હોય છે. ઘણીવાર તો પોલીસ આવા સામાન્ય લોકો પાસે માફી મંગાવતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતી હોય છે જેથી સમાજમાં દાખલો બેસાડી શકાય. પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તેના પર સૌની નજરપરંતુ અહીં સવાલ એ છે કે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? જ્યારે પ્રભાવશાળી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને શું કાયદાની મર્યાદા ઓળંગી?. કેશોદના ચાર ચોકમાં થયેલી આ ઉજવણીના વીડિયો અને ફોટા વાયરલ થયા બાદ હવે લોકો પોલીસના આગામી પગલાની રાહ જોઈ રહ્યા છે. શું પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે ગુનો નોંધશે કે પછી રાજકીય દબાણ હેઠળ આ મામલે આંખ આડા કાન કરવામાં આવશે તે જોવાનું રહ્યું. પોલીસ આવા કેસોમાં જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 188 હેઠળ ગુનો નોંધીને કાયદાને અનુસંધાને કામ કરતી હોય છે. પરંતુ શું જૂનાગઢ પોલીસ શિસ્તબદ્ધ ભાજપના નેતાઓ અને બર્થડે ઉજવણીમાં સામેલ લોકો પર કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું. આ પણ વાંચો 1 મહિના પહેલા કારના રૂફ અને બોનેટ પર બેસી ABVPના કાર્યકર્તાઓએ રેલી યોજી 1 મહિના પહેલાં જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું હતું. જૂનાગઢની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના બોનેટ અને રૂફ પર બેસી જોખમી રીતે રેલી યોજતા સવાલો ઉઠ્યા હતાં. સોશિયલ મીડીયામાં જે હોદેદારોના વીડિયો વાઈરલ થયા, તેમાં કેટલાક રાજકીય આગેવાનોના સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને પણ તાલુકા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી ભીનું સંકેલી લીધું હતું, કારણ કે આ ઘટનામાં પણ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો દીકરો મુખ્ય હોવાની વિગત મળી હતી.
મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દૂ યુવતીઓને નોકરીની લાલચ આપી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ કરાયાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ મામલે વલસાડ જિલ્લા બજરંગ દળ અને વિવિધ હિન્દૂ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આકરી નિંદા કરી હતી. મળતી માહિતી મુજબ, નાસિકની એક જાણીતી આઈટી કંપની (TCS) માં નોકરી કરતી હિન્દૂ યુવતીઓને નિશાન બનાવી લવ જેહાદના ષડયંત્રમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. હિન્દૂ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે યુવતીઓને હિજાબ પહેરવા અને ગૌમાંસ ખાવા દબાણ કરીને તેમનું ધર્માંતરણ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી. વલસાડ બજરંગ દળના સંયોજક સમીપ સુરવે જણાવ્યું હતું કે, 'દેશભરમાં હિન્દૂ દીકરીઓને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ કરાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. નાસિકની ઘટના અત્યંત નિંદનીય છે.' તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને ઉદ્દેશીને કલેક્ટરને આવેદન આપ્યું હતું કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. દુર્ગાવાહિનીના પ્રખંડ સંયોજિકા વિપાસા રાઠોડે પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'આજની ભણેલી-ગણેલી દીકરીઓને પણ જિહાદીઓ નિશાન બનાવી રહ્યા છે. આ એક 'કોર્પોરેટ જેહાદ' છે.' આવેદનપત્રમાં જણાવાયું છે કે જો આવી ઘટનાઓ અટકશે નહીં તો આગામી દિવસોમાં હિન્દૂ સંગઠનો ઉગ્ર આંદોલન કરશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો 'જય શ્રી રામ'ના નારા સાથે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી.
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ પાસે ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ ભાજપના ઉમેદવારોને બરાબરના ઉધડો લીધા છે. વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા ત્યારે સ્થાનિકે તળાવમાં ફેલાયેલી ગંદકી બતાવતા ભાજપના કાર્યકરોએ “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા. જેથી સ્થાનિકોએ પૂછ્યું હતું કે, 'રામના 10 નામ બોલી બતાવો'. તેમજ સવાલોનો મારો ચલાવતા ઉમેદવારોએ ભાગવું પડ્યું હતું. ભાજપના ઉમેદવારો ધરતીબેન સોની, અનિતાબેન વિરપુરા, રણજીત રાજપુત અને પવન હેમનાની પ્રચાર માટે વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન તેઓ સરસિયા તળાવ પાસે પહોંચ્યા ત્યારે કેટલાક સ્થાનિક નાગરિકોએ તળાવની હાલત અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. નાગરિકોએ તળાવમાં ફેલાયેલી ગંદકી, અયોગ્ય સફાઈ અને લાંબા સમયથી બાકી રહેલા વિકાસ કાર્યો અંગે સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન સાથે આવેલા ભાજપના કાર્યકરોએ “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા, ત્યારે એક નાગરિકે વિરોધ દર્શાવતા ઉમેદવારો અને કાર્યકરોને પ્રશ્ન કર્યો કે “રામના 10 નામ બોલી બતાવો.” આ નિવેદનથી ત્યાં થોડીવાર માટે ઉમેદવારો શરમમાં મૂકાવા જેવું થયું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પ્રચાર સમયે માત્ર નારા લગાવવાથી નહીં, પરંતુ વિસ્તરના વાસ્તવિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરૂરી છે. તળાવની ગંદકી અને આસપાસની અણઘડ પરિસ્થિતિને લઈને નાગરિકોમાં અસંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
ચૂંટણી આયોગે ઓનલાઈન પોર્ટલ કર્યું કાર્યરત:મતદારો ઘરે બેઠા મેળવી શકશે વોર્ડ-બૂથની માહિતી
રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સામાન્ય ચૂંટણી-2026 માટે મતદારોની સુવિધા વધારવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમામ મતદારો મતદારયાદીમાં પોતાનું નામ, ક્રમ, વોર્ડ નંબર અને મતદાન મથક જેવી પાયાની વિગતો ઓનલાઈન મેળવી શકશે. આ ટેકનોલોજીનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદારનું નામ સ્થાનિક સ્વરાજ્યની મતદારયાદીમાં હોવું ફરજિયાત છે. મતદારોને ઘણીવાર તેમના મતદાન મથક અથવા વોર્ડ અંગે મૂંઝવણ થતી હોય છે. આ સમસ્યા દૂર કરવા આયોગે ઓનલાઈન સર્ચ એન્જિન ઉપલબ્ધ કરાવ્યું છે, જેના દ્વારા મતદાન મથકનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે. આ સુવિધાનો લાભ લેવા માટે, મતદારોએ રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ https://secsearch.gujarat.gov.in/search/default.aspx ની મુલાકાત લેવી પડશે. પોર્ટલ પર બે વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રથમ વિકલ્પ 'નામ દ્વારા શોધ' છે. જો EPIC નંબર ઉપલબ્ધ ન હોય, તો મતદારો પોતાનું નામ, પિતા કે પતિનું નામ, અટક, જિલ્લો, તાલુકો અને વિસ્તાર પસંદ કરીને માહિતી શોધી શકે છે. બીજો વિકલ્પ 'EPIC નંબર દ્વારા શોધ' છે. મતદાર ઓળખપત્ર પર લખેલો આલ્ફા-ન્યુમેરિક EPIC નંબર દાખલ કરીને સીધી જ વિગતો મેળવી શકાય છે. સર્ચ બટન પર ક્લિક કર્યા પછી, મતદારનું નામ, પિતા/પતિનું નામ, વોર્ડ નંબર, મતદારયાદીનો ભાગ નંબર, ક્રમ નંબર, તેમજ મતદાન મથકનું નામ અને સરનામું સ્ક્રીન પર પ્રદર્શિત થશે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ મતદારોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. મતદાનના દિવસે છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન થાય તે માટે નાગરિકોને અત્યારથી જ આ પોર્ટલ દ્વારા પોતાની વિગતો ચકાસી લેવા વિનંતી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે કે લોકશાહીના આ પર્વમાં કોઈ પણ લાયક મતદાર મતાધિકારથી વંચિત ન રહે.
ચારુસેટ RPCPનો 22મો વાર્ષિકોત્સવ ઉજવાયો:ડો. વિરાંચી શાહ અને ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન
ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)નો 22મો વાર્ષિકોત્સવ 15 એપ્રિલ, 2026ના રોજ ચારુસેટ કેમ્પસમાં ઉજવાયો હતો. આ પ્રસંગે સાગા લાઈફ સાયન્સ લિમિટેડના ડિરેક્ટર અને IDMAના નેશનલ સ્પોક્સપર્સન ડો. વિરાંચી શાહ તેમજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, માનદ મંત્રી ડો. એમ.સી. પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ અને સહમંત્રી મધુબેન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડો. બિનિત પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડીન ડો. સમીર પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. RPCPના પ્રિન્સિપાલ ડો. મનન રાવલે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં અભ્યાસક્રમ, સહ-અભ્યાસક્રમ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ તેમજ સંશોધનમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સની સિદ્ધિઓ અને સીમાચિહ્નોને આવરી લેવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન ડો. વિરાંચી શાહે યુનિવર્સિટી અને સંસ્થાના વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે AI અને IOના પરિવર્તનકારી પ્રભાવ, બાયોસિમિલર્સમાં નવીનતાઓ તેમજ વિઝન 2047 માટેના રોડમેપ વિશે સંબોધન કર્યું હતું. તેમણે સ્વસ્થ રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાની ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં ગ્લોબલ કમ્પ્લાયન્સ સેન્ટર (GCC) અને GCC પાર્કની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. અતિથિવિશેષ ભરતભાઈ પટેલે સંસ્થા અને યુનિવર્સિટીના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજના આરોગ્ય માટે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) અને તેમાં ફાર્માસિસ્ટની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં તેમની સિદ્ધિઓ બદલ એવોર્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ ફેકલ્ટી મેમ્બર્સને પણ તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે બી.ફાર્મના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ધૈર્ય શાહ અને પંક્તિ પટેલે વિદાય પ્રવચન આપ્યું હતું. વાર્ષિકોત્સવના કો-ઓર્ડીનેટર ડો. નિલય સોલંકી દ્વારા આભારવિધિ સાથે સમારંભનું સમાપન થયું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ પત્રમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદ મિતેશ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં યોજાયેલ જાહેર સભામાં આપેલા નિવેદનોથી ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે. કોંગ્રેસના પત્ર મુજબ, 20 એપ્રિલે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના એક કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ મતદારોને પ્રભાવિત કરવા માટે સરકારી સહાય અને ગ્રાન્ટ બાબતે ભ્રામક અને પ્રલોભન આપતા નિવેદનો આપ્યા હતા. કોંગ્રેસે આ નિવેદનને ગંભીર ગણાવી જણાવ્યું છે કે આવી ભાષા ચૂંટણી પ્રક્રિયાને અસર કરે છે અને મતદારો પર અયોગ્ય દબાણ સર્જે છે. તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં માંગપત્રમાં વધુમાં જણાવાયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે, છતાં ભાજપના નેતાઓ દ્વારા જાહેરમાં આવા નિવેદનો આપવામાં આવતાં ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થાય છે. કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને વિનંતી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે. ‘મતદારોને ભયભીત કરવા અથવા લોભ આપવાનો પ્રયાસ’કોંગ્રેસે માંગણી કરી છે કે આ પ્રકારના નિવેદનો દ્વારા મતદારોને ભયભીત કરવા અથવા લોભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે. અંતે, કોંગ્રેસે ચૂંટણી આયોગને નિષ્પક્ષતા જાળવવા માટે સખત કાર્યવાહી કરવાની અપીલ કરી છે. શું કહ્યું હતું સાંસદે?જાહેર સભામાં સંબોધન કરતાં સાંસદ મિતેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આંકલાવ વિસ્તારમાં કોંગ્રેસ એકપણ બેઠક જીતશે તો તે વિસ્તારોને ગ્રાન્ટ આપવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયતની એકપણ બેઠક કોંગ્રેસ જીતશે તો તેઓ એક રૂપિયાની પણ ગ્રાન્ટ મંજૂર નહીં થવા દે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો? ક્રૂડ ઓઇલ 100 ડોલરની નજીક, હોર્મુઝમાં તણાવ વધ્યો
(IMAGE - IANS) Global Crude Oil Prices: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચી ગઈ છે.
વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો
Vaishno Devi Temple Silver Scam: હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર 5-6% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી પહોંચાડી, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો કર્યો છે. રૂ.
યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
(IMAGE - IANS) Lufthansa flight Cancellations: ઈરાન સાથેના યુદ્ધના પ્રારંભ બાદ જેટ ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં બમણો વધારો થતાં યુરોપના સૌથી મોટા એરલાઇન ગ્રુપ લુફ્થાન્સા(Lufthansa) એ મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઉનાળુ શિડ્યુલમાંથી આશરે 20,000 જેટલી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.
પાટણ નગરપાલિકા ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 7 માં કોંગ્રેસે છત્રીઓ સાથે પ્રચાર શરૂ કર્યો છે. શહેર કોંગ્રેસની ટીમ અને મહિલા કાર્યકરોએ બુકડી વિસ્તારમાં ઘરે-ઘરે ફરીને ભાજપ શાસનમાં ગંદા પાણીની સમસ્યા અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસને વિજયી બનાવવા અપીલ કરી હતી. આગામી 26 એપ્રિલે યોજાનારી પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચાર કાર્ય વેગવંત બન્યું છે. વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે સવારના સમયે આકરા તડકા અને ગરમીથી બચવા માટે નેતાઓ અને કાર્યકરો હાથમાં છત્રીઓ લઈને પ્રચારમાં ઉતર્યા હતા. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ખાસ કરીને પ્રચારમાં જોડાયેલી મહિલા કાર્યકરોને ગરમીમાં હાલાકી ન પડે તે માટે વિશેષ છત્રીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ બુકડી વિસ્તારના વિવિધ મહોલ્લાઓમાં જઈ સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપના શાસન પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પાટણની જનતા પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થવાની સમસ્યાથી લાંબા સમયથી પરેશાન છે. ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પ્રજાના કામોમાં રસ દાખવવાને બદલે માત્ર કમિશન અને ભ્રષ્ટાચારમાં જ ધ્યાન આપ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન અમલી બનેલા 'નગરપાલિકા પ્રજાને દ્વારે' જેવા કાર્યક્રમોને યાદ કરી સેવાકીય શાસનનો વાયદો કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા પ્રચાર માટે આ વખતે ઘણો ઓછો સમય મળ્યો છે. 16 એપ્રિલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ માત્ર 8 દિવસનો સમય મળ્યો હોવા છતાં, કોંગ્રેસ દ્વારા આખા પાટણમાં ઘરે-ઘરે પહોંચવા પ્રયાસો થઈ રહ્યા છે. આકરી ગરમીના કારણે સવારના 9 વાગ્યાથી જ તાપમાન ઉંચુ રહેતું હોવાથી કાર્યકરોની સુરક્ષા માટે છત્રીનો ઉપયોગ કરી આ પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પાયાની સુવિધાઓના મુદ્દે કોંગ્રેસ આ વખતે જનતા પાસે પરિવર્તન માટે મત માંગી રહી છે.
રાજ્યમાં હવે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા બાદ ગઈકાલે 21 એપ્રિલે અમરેલી આગળ વધ્યું છે. મંગળવારે અમરેલી 41.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. આજે પણ ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે, અત્યારે ગરમી વધવાનું મુખ્ય કારણ રાજસ્થાનના સૂકા પ્રદેશો તરફથી આવતા ગરમ અને સૂકા પવનો છે. આ પવનોમાં ભેજનો અભાવ હોવાથી તે વધુ દઝાડનારા લાગે છે. સાથોસાથ, આકાશ એકદમ સ્વચ્છ હોવાથી સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડે છે, જેના કારણે વાસ્તવિક તાપમાન કરતા અનુભવાતી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આગામી દિવસોમાં તાપમાન 43ને પાર પહોંચવાની આગાહીહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના તટિય વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી 26 એપ્રિલના રોજ જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે, આ દિવસે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન 40થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે. ગુજરાતની ગરમીની તસવીરો… 21 એપ્રિલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં નોંધાયુંરાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 21 એપ્રિલે 41,1 ડિગ્રી સાથે અમરેલી સૌથી હોટ સિટી રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહરાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ પણ વાંચો MPના 9 શહેરોમાં વોર્મ નાઈટનું એલર્ટ:છત્તીસગઢમાં પ્લેટફોર્મ પર ઠંડા ફુવારા છોડવામાં આવ્યા; યુપીના પ્રયાગરાજમાં પારો 44.6C પર પહોંચ્યો દેશના મેદાની વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઓડિશા અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મધ્ય પ્રદેશના ભોપાલ સહિત 9 જિલ્લાઓમાં પ્રથમ વખત ‘વોર્મ નાઈટ’ની ચેતવણી આપી છે. મૈહર જિલ્લામાં ધોરણ 5 સુધીની તમામ શાળાઓમાં 30 એપ્રિલ સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો આકરી ગરમી અને દુષ્કાળને કારણે પરેશાન છે. પ્રયાગરાજમાં પારો 44.6C પર પહોંચી ગયો. રાજ્યના 26 જિલ્લાઓનું તાપમાન 40C થી વધુ રહ્યું. હવામાન વિભાગે મંગળવારે 26 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. છત્તીસગઢના બિલાસપુરમાં તાપમાન 43.8C નોંધાયું. અહીં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર મિસ્ટિંગ સિસ્ટમ હેઠળ ઠંડી ફુવારા છોડવામાં આવ્યા. બિહારના પટના સહિત 8 જિલ્લાઓનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે.વાંચો સંપૂર્ણ સમાચાર
માળીયા (મી) તાલુકામાં હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટલ પાસે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૂળ મોરબીના જેતપર ગામના અને હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા અનિલ હરિલાલ કંડિયા (ઉં.વ. 28) નામના યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અનિલ કંડિયા તેના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા (ઉં.વ. 27, રહે. મોરબી) સાથે અણિયારા ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ ખાતે નાસ્તો કરવા ગયો હતો. તે સમયે અજાણ્યા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને રૂપિયાની લેતીદેતી બાબતે અનિલ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન અનિલને પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા મારવામાં આવ્યો હતો. અનિલને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર વિવેકને પણ છરી વાગતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલને પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ હત્યામાં પલટાયો છે. મૃતક અનિલ કંડિયાને અગાઉ જેતપર ગામે કરિયાણાની દુકાન હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી તેની માતા રંજનબેન સાથે મોરબીમાં રહેતો હતો. તેના પિતાએ પાંચેક વર્ષ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હત્યા પાછળ રૂપિયાની લેતીદેતીનો વિવાદ કારણભૂત હોઈ શકે છે અને તપાસનો રેલો મોરબીની કોઈ ફાયનાન્સ પેઢી સુધી પહોંચે તેવી શક્યતા છે. માળીયા તાલુકા પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી 23.25 લાખની કિંમતના 31 નવા ટુ-વ્હીલરની ચોરી થઈ છે. ગઠીયાએ ત્રણ જ મહિનામાં વાહનોની ચોરી કરી હતી. 1 એપ્રિલના રોજ જ્યારે સ્ટોક ગણતરી થઈ ત્યારે વાહનચોરી થઈ હોવાનો ભાંડો ફુટ્યો હતો. જે અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 31 ટુ-વ્હીલરની ચોરીનવા નરોડા વિસ્તારમાં આવેલા સાગર ટેનામેન્ટમાં રહેતા ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ 23.25 લાખના 31 ટુ-વ્હીલરની ચોરીની ફરિયાદ કરી છે. ધર્મપાલ સંયુક્ત પરિવારમાં રહે છે અને નિકોલ વિસ્તારમાં આવેલા અક્ષર આર્કેડની બાજુમાં સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લીમીટેડના હોન્ડા ટુ-વ્હીલરના શોરૂમમાં ગોડાઉન મેનેજર તરીકે નોકરી કરે છે. ગોડાઉનમાં 1200 ટુ-વ્હીલરનો સ્ટોક હોય છેધર્મપાલ છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે જ્યારે કંપનીનું ગોડાઉન નવા નરોડા ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલુ છે. જેમાં અંદાજીત 1200 ટુ-વ્હીલરનો સ્ટોક હોય છે. 1 જાન્યુઆરી 2026ના રોજ વાહનોના સ્ટોકની ગણતરી કરી હતી જે પરફેક્ટ હતી, ત્યારબાદ 1 એપ્રિલ 2026ના રોજ પણ વાહનોની સ્ટોક ગણતરી થઈ હતી જેમાં કેટલાક ટુ-વ્હીલર ઓછા હતા. 4 મહિનામાં 30 એક્ટિવા અને 1 બાઇકની ચોરીધર્મપાલે ચાર મહિનાના ગાળામાં ટુ-વ્હીલરની આવક જાવકનો હિસાબ બારીકાઈથી કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતુ કે 30 એક્ટિવા અને એક બાઈક ગાયબ હતું. 4 મહિનામાં કોઈ ગઠીયો વિવિધ સમય દરમિયાન 31 વાહનોની ચોરી કરીને જતો રહ્યો હતો. ધર્મપાલે સમગ્ર મામલે શો-રૂમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી, જેમાં તેમને ફરિયાદ નોંધવાનું કહ્યું હતુ. ધર્મપાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં 31 વાહન ચોરીની ફરિયાદ કરી છે જેની કિંમત 23.25 લાખ રૂપિયા થાય છે. ગોડાઉન કે શો-રૂમ, ક્યાં થઈ ચોરી? પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગોડાઉનમાં કોઈ સીસીટીવી કેમેરા નથી. ધર્મપાલની કંપનીમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે વાહનો ગોડાઉનમાંથી ચોરાયા કે શો-રૂમમાંથી ચોરાયા તે રહસ્ય હજુ સુધી સામે આવ્યુ નથી. હાલ પોલીસે ગુનો નોંધીને તમામ દીશામાં તપાસ શરૂ કરી છે.
હિંમતનગર નેશનલ હાઈવે પર બે અકસ્માત:ચાર ટ્રક અથડાઈ, એક ચાલકને ઈજા; સાડા ચાર કલાકમાં ઘટના
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક મોતીપુરા પાસેથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સ્ટારસિટી સામેના ઓવરબ્રિજ પર આજે સવારે સાડા ચાર કલાકના ગાળામાં બે અલગ-અલગ અકસ્માત સર્જાયા હતા. આ ઘટનાઓમાં કુલ ચાર ટ્રક સામેલ હતી અને એક ટ્રક ચાલકને ઈજા થતાં તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતથી કપડું ભરીને આગ્રા જઈ રહેલા બે ટ્રક કન્ટેનરમાંથી એક ટ્રક બુધવારે સવારે 4:30 વાગ્યે નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ ચઢતી વખતે અમદાવાદ તરફથી આવતા એક ડમ્પરે તેને ખાલી સાઈડથી ટક્કર મારી હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે ટ્રકનું એક ટાયર પંચર થઈ ગયું હતું. આ પંચર થયેલા ટ્રકનું ટાયર બદલવા માટે સવારે 9 વાગ્યાની આસપાસ પાછળ આવતો બીજો ટ્રક કન્ટેનર ટાયર લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ટાયર બદલવા માટે ટ્રક કન્ટેનર ઓવરબ્રિજ પર એક બાજુ ઊભો હતો. તે જ સમયે, પૂરઝડપે આવી રહેલા અન્ય એક ટ્રક કન્ટેનરે બ્રિજ પર ઊભેલા ટ્રક કન્ટેનરને ટક્કર મારી હતી, જેના કારણે બીજો અકસ્માત સર્જાયો હતો. આ બીજા અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા થઈ હતી. ઊભા રહેલા ટ્રકના ચાલકે ઈજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બંને અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમણે ઓવરબ્રિજ પર ઊભેલી ત્રણેય ટ્રકને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પંચર થયેલા ટ્રકને મદદ પૂરી પાડી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસે પણ આ ઘટના અંગે જાણ થતાં વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કાપોદ્રામાં રવિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર માતા સાથે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઈ જતો દેખાયો છે અને તે ટ્રેન મારફતે મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાના પુરાવા મળતા સુરત પોલીસની અલગ-અલગ ટીમો ઈન્દોર રૂટ તરફ ગઈ છે. માતાની ઊંઘ ઉડી ત્યારે બાળકી ગાયબ હતીદેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતા બે દિવસ પહેલા જ ત્રણ વર્ષની દીકરીને લઈ સુરત આવી હતી. અહીં તે તેના પરિચિત વિક્કી સાથે નાના વરાછા બ્રિજ નીચે શૌચાલય પાસે ફૂટપાથ પર રહેતી હતી. 20 એપ્રિલના રોજ કડિયાકામની મજૂરી કરી થાકેલી માતા રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકી સાથે ભરઊંઘમાં સરી પડી હતી. રાત્રે 1 વાગ્યાના અરસામાં જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે પડખામાં સૂતેલી બાળકી ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા. અપહરણકાર રિક્ષા કરી સીધો રેલવે સ્ટેશન પહોંચ્યોબાળકી ન મળતા તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. જેથી પીઆઈ એમ.આર. સોલંકી અને તેમની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે, એક 30 વર્ષીય શખ્સ રાત્રે 9:30 વાગ્યે બાળકીનું અપહરણ કરી રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર તે રાત્રે 10:10 કલાકે ઉપડેલી દૌન્ડ-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે. પોલીસે ઈન્દોર સુધી જાળ બિછાવી, 20 જવાનની ટીમ શોધખોળમાંપોલીસે 20થી વધુ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી છે. અપહરણકાર ટ્રેનમાં હોવાથી વડોદરા, દાહોદ અને મધ્યપ્રદેશ બોર્ડરના રેલવે સ્ટેશનો તેમજ RPFને એલર્ટ કરી દેવામાં આવી છે. શંકા છે કે આરોપી આ વિસ્તારમાં મજૂરી કરતો હોઈ શકે છે, જેથી ફૂટપાથ પર રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂર્વનિયોજિત કાવતરું હોવાની શંકાપોલીસનું માનવું છે કે આ અપહરણ પૂર્વનિયોજિત કાવતરું હતું. આરોપીએ જે રીતે રાત્રે 9:30 વાગ્યે બાળકીને ઉપાડી અને તુરંત જ 10:10 વાગ્યે ટ્રેન પકડી લીધી, તે જોતા તે બાળકી પર નજર રાખી રહ્યો હોય તેમ જણાય છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ શખ્સ અગાઉ ક્યારેય આ વિસ્તારમાં જોવા મળ્યો નહોતો. પારિવારિક વિખવાદમાં સુરત આવેલી માતા પર આભ તૂટી પડ્યુંપીડિત મહિલાને ત્રણ દીકરીઓ છે (10, 8 અને 3 વર્ષ). પતિ સાથે અણબનાવ થતા તે નાની દીકરીને લઈને સુરત કામ શોધવા આવી હતી અને હજુ મજૂરી કામ શરૂ કર્યું ત્યાં જ વહાલસોયી દીકરીનું અપહરણ થતાં હાલત કફોડી બની છે. દીકરી સાથે કંઈ અજુગતું ન થાય તેના ડરથી તે સતત પોલીસને પોતાની બાળકી શોધી આપવા વિનવણી કરી રહી છે.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં મતદાન મથકો ઊભા કરવાની પ્રક્રિયા સાથે, દરેક મતદાન મથકની આસપાસના 100 મીટર વિસ્તારનું મેપિંગ અને ગ્રાઉન્ડ માર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરના કુલ 16 વોર્ડને આવરી લેવા માટે ચાર અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોને ચાર-ચાર વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમો દ્વારા મતદાન મથકથી 100મીટર સુધીના વિસ્તારમાં માપણી કરીને સફેદ રંગથી માર્કિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ગઈકાલ રાત્રિથી શરૂ થઈ છે અને સતત ચાલુ છે. આ ઉપરાંત, મતદાન મથકોની આંતરિક સુવિધાઓ અને અન્ય આવશ્યક વ્યવસ્થાઓની તૈયારીઓ પણ સમાંતર રીતે કરવામાં આવી રહી છે. આનો ઉદ્દેશ્ય મતદાનના દિવસે કોઈપણ પ્રકારનો અવરોધ ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે. સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સંકલિત રીતે આગળ વધી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા મતદાનને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન:ચૂંટણી ફરજ પરના સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને, ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ વ્યવસ્થા ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે કરવામાં આવી હતી, જેથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આ મતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો, હોમગાર્ડ અને ગ્રામ રક્ષા દળ (GRD)ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. ચૂંટણી ફરજને કારણે મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોય તેવા સુરક્ષા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની આ વ્યવસ્થા લોકશાહીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરે છે. સુરક્ષાકર્મીઓએ જવાબદારીપૂર્વક મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કોંગ્રેસે પાલનપુર માટે મેનિફેસ્ટો જાહેર કર્યો:સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પાયાની સુવિધાઓના વચનો
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ તબક્કા પૂર્વે કોંગ્રેસે પાલનપુર શહેર માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક વચનો આપવામાં આવ્યા છે. આ મેનિફેસ્ટોમાં પાણી, ગટર અને રોડ-રસ્તા જેવી પાયાની સુવિધાઓ સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઇબ્રેરી, મોહલ્લા ક્લિનિક્સ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ જેવા મહત્વના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પાલનપુર નગરપાલિકા માટે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે, તેમાં પાયાની સુવિધાઓથી વંચિત લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં ગટર, રોડ અને પાણીના જે પ્રશ્નો છે, તેના કાયમી સમાધાન માટે કોંગ્રેસ પાર્ટીની નગરપાલિકા પ્રતિબદ્ધતાથી કામ કરશે. ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે શહેરના 11 વોર્ડમાં 'મોહલ્લા ક્લિનિક' શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવશે અને તેમને સારા કોચિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. દર ત્રણ મહિને દરેક વોર્ડમાં 'લોકસંવાદ' યોજીને પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ લાવવામાં આવશે. લોકોને નગરપાલિકા આવ્યા વિના ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાશે. કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવશે, જેથી લોકોને ટેન્ડર સંબંધિત તમામ માહિતી સરળતાથી મળી રહે. હાલમાં 'ટકાવારી' વગર કોઈ ટેન્ડર ખુલતા નથી તેવી પ્રવર્તમાન સ્થિતિને બદલીને પારદર્શક અને સારો વહીવટ આપવાનો પ્રયાસ રહેશે.
વિજ્ઞાન અને કલાના અનોખા સંગમથી સુરતના એક યુવા ઇનોવેટરે ફરી એકવાર આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર 'ક્રિએટિવ સાયન્સ' તરીકે જાણીતા શિવમ મૌર્યએ એક એવી સાયકલ બનાવી છે જે ચાલક વગર રસ્તા પર દોડે છે. આ સાયકલને જોતા એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ચલાવી રહી છે, જેના કારણે લોકો તેને 'ઘોસ્ટ સાયકલ' તરીકે ઓળખાવી રહ્યા છે. યુવકની ત્રણ મહિનાની મહેનત અને AIનો જાદુશિવમ મૌર્ય અને તેમના સાથી ગુરપ્રીત અરોડાએ સતત 3 મહિનાની સખત મહેનત બાદ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સાયકલ તૈયાર કરી છે. અંદાજે 35 હજાર રૂપિયાના ખર્ચે બનેલી આ સાયકલ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતાનો નમૂનો છે. આ સાયકલ રસ્તા પર પોતાની જાતે સંતુલન જાળવે છે અને પૂર્વ-નિર્ધારિત રસ્તા પર કોઈ પણ માનવીય મદદ વગર ચાલે છે. ભૂતિયો અહેસાસ કરાવતું એનિમેટેડ પેડલિંગઆ પ્રોજેક્ટની સૌથી આકર્ષક બાબત તેનું પેડલિંગ મિકેનિઝમ છે. સાયકલમાં માણસના પગ જેવું જ એક સ્ટ્રક્ચર ગોઠવવામાં આવ્યું છે. જ્યારે સાયકલ ચાલે છે ત્યારે તે પગ બિલકુલ કુદરતી રીતે પેડલ મારતા હોય તેવું દેખાય છે. 'બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા'શિવમ જણાવે છે કે, જ્યારે અમે આ સાયકલને રસ્તા પર ટેસ્ટિંગ માટે લઈ ગયા, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ખાસ કરીને બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા, કારણ કે સાયકલ પર કોઈ બેઠું નહોતું છતાં પેડલ જાતે ફરી રહ્યા હતા. મોબાઇલ એપ અને રિમોટથી સંચાલન થાય છેઆ 'ઘોસ્ટ સાયકલ' ત્રણ અલગ-અલગ રીતે નિયંત્રિત કરી શકાય છે. તેને સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા ઓપરેટ કરી શકાય છે, રિમોટ કંટ્રોલથી ચલાવી શકાય છે અથવા ચોક્કસ રૂટ માટે કોડિંગ (AI મેપિંગ) કરીને તેને સંપૂર્ણ ઓટોમેટિક મોડ પર મૂકી શકાય છે. તેમાં લગાવેલા સર્કિટ્સ અને સેન્સર્સ તેને રસ્તા પર વળાંક લેવામાં અને અડચણો ઓળખવામાં મદદ કરે છે. કોણ છે ઇનોવેટર શિવમ મૌર્ય?શિવમ મૌર્ય ડિજિટલ દુનિયામાં જાણીતું નામ છે. તેમની યુટ્યુબ ચેનલ 'Creative Science' પર 20 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ પહેલા પણ તેઓ ડ્રાઈવર વગરની 'ગરુડા AI બાઇક' બનાવીને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂક્યા છે. શિવમના મતે, આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં કોન્ટેક્ટલેસ ડિલિવરી, મોટા કેમ્પસમાં સિક્યુરિટી પેટ્રોલિંગ અને પ્રદૂષણ મુક્ત સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય તેમ છે. દસ વર્ષથી અલગ-અલગ ઇનોવેશન પર કામઆ પ્રયોગ પાછળની ક્રિએટિવ સાયન્સ સંસ્થા આઠથી દસ વર્ષથી અલગ-અલગ ઇનોવેશન પર કામ કરી રહી છે. ડ્રાઇવરલેસ બાઇક, એક ટાયર સ્કૂટર, રોબોટ રિક્ષા અને કેપ્સ્યુલ કાર જેવા પ્રોજેક્ટ અગાઉ રજૂ થઈ ચૂક્યા છે. સુરતમાં નવીન શોધોની શ્રેણી યથાવતસુરત શહેરમાં આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ લોકોમાં ટેક્નોલોજી પ્રત્યે રસ વધારી રહી છે અને યુવાનોને નવી દિશા તરફ પ્રેરણા આપી રહી છે. આવા પ્રયોગો માત્ર પ્રદર્શન પૂરતા નહીં રહેતા. ભવિષ્યમાં શહેરના ટ્રાન્સપોર્ટ અને સ્માર્ટ સિટી વિકાસ માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે.
જામનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઈવ અંતર્ગત દરેડ અને મસીતિયા વિસ્તારોમાં સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી. અને પંચ બી. ડિવિઝનના સ્ટાફે સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન મોટર વાહન અધિનિયમ (MV Act) કલમ 207 હેઠળ 10 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે MV Act હેઠળ 18 એન.સી. (નોન-કોગ્નિઝેબલ) કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, દારૂબંધીને લગતા 2 કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને 10 નીલ રેઈડ હાથ ધરવામાં આવી હતી. પોલીસે 15 બુટલેગરના રહેઠાણોની પણ ચકાસણી કરી હતી. આ ઉપરાંત, 5 ટપોરીઓની તપાસ, 3 હિસ્ટ્રીશીટરોની ચકાસણી અને 4 એમ.સી.આર. (મૂવમેન્ટ કંટ્રોલ રજિસ્ટર) ચેકિંગ પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી એલ.સી.બી., એસ.ઓ.જી. અને પંચ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સંકલિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવી કોમ્બિંગ ડ્રાઈવ ચાલુ રાખીને કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના H બ્લોકના પાર્કિંગમાંથી કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો છે. તેઓ છૂટક મજૂરી કામ કરીને કોમન પાર્કિંગમાં જ રહેતા હતા. પોલીસે હત્યાની આશંકાએ વધુ તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી 80 મીટરના રિંગ રોડ અને ટીપી-ડીપી સ્કીમના વિરોધમાં 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂત સમિતિના આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ મળતા આંદોલનકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુખ્યમંત્રીએ ખેડૂતોની મુખ્ય માંગણીઓને સ્વીકારી લેતા કુકસ ગામે મળેલી સભા બાદ આંદોલન ચાલુ કે બંધ રાખવા વિચારણા કરવામાં આવશે. 80 મીટરના રિંગ રોડના મુસદ્દાને રદ કરવાની ખાતરીબેઠકની વિગતો મુજબ મુખ્યમંત્રીએ ખેડૂતોની સૌથી મોટી માંગ એવા 80 મીટરના રિંગ રોડના મુસદ્દાને રદ કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત અગાઉ જે ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા હતા, તેને પણ રદ કરીને ફરીથી એગ્રીકલ્ચર ઝોનમાં સમાવી લેવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોની જમીન ન કપાય તે માટે સરકારે આ રસ્તો કર્યોનવી ટીપી સ્કીમની રચનામાં ખેડૂત સમિતિને સાથે રાખવાની પણ ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોની જમીન ન કપાય તે માટે એક વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે, જેમાં નવી જમીન સંપાદિત કરવાના બદલે ગામડાંના જૂના રસ્તાઓ અને પ્રધાનમંત્રી સડક યોજનાના હાલના માર્ગોને પહોળા કરીને ટીપીમાં સમાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 'જરૂર પડ્યે ફરી આંદોલન માટે પણ તૈયારી'ખેડૂત સમિતિના આગેવાન રતિલાલ પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથેની આ વાટાઘાટોમાં ખેડૂતોને પ્રથમ મોટી જીત મળી છે. મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં સકારાત્મક વલણ દાખવીને જમીન બચાવવા માટેનો મહત્વનો નિર્ણય લીધો છે. જોકે આ આંદોલન માત્ર શરૂઆત છે. આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા લાદવામાં આવતા ટેક્સ અને અન્ય પ્રશ્નો અંગે સમિતિ પોતાની કાયદેસરની લડત ચાલુ રાખશે અને જરૂર પડ્યે ફરી આંદોલન માટે પણ તૈયારી રાખશે. શું ખેડૂતો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરશે?ચૂંટણી બહિષ્કારના મુદ્દે સમિતિએ કોઈ સામૂહિક આદેશ થોપવાના બદલે લોકશાહી ઢબે નિર્ણય લેવાનું પસંદ કર્યું છે. સમિતિના જણાવ્યા અનુસાર ચૂંટણીના બહિષ્કાર અંગેનો અંતિમ નિર્ણય જે-તે ગામ પર છોડવામાં આવ્યો છે. 14 ગામના ખેડૂતો પોતપોતાના ગામમાં સભા યોજીને ચૂંટણી બહિષ્કાર કરવો કે નહીં તે અંગેનો સ્વતંત્ર નિર્ણય લેશે. આમ આંદોલન સ્થગિત હોવા છતાં ખેડૂતોના અન્ય સ્થાનિક પ્રશ્નો અંગેની લડત યથાવત રહેશે.

30 C