જૂનાગઢ શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા ગણાતી પટેલ કેળવણી મંડળમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. સંસ્થાના ટ્રસ્ટી કાંતિ ફળદુ સામે આંદોલન કરી રહેલા વાલીઓ અને સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડિયા વિરુદ્ધ કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુનો એક અત્યંત અભદ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં ચેતન ફળદુએ ન માત્ર ધારાસભ્યને ગાળો આપી છે, પરંતુ ઉપવાસ પર બેઠેલા વાલીઓને ખુલ્લેઆમ ધમકી આપીને જ્ઞાતિ વિષયક અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા સમગ્ર પાટીદાર સમાજ અને વાલી આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વિવાદ સમાધાનકારી રસ્તે પૂર્ણ કરવાની સલાહ આપતા ચેતન ઉશ્કેરાયોદિવ્ય ભાસ્કર પાસે ઉપલબ્ધ આ વાઇરલ વીડિયોની વિગતો મુજબ, ચેતન ફળદુ અન્ય એક વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે. સામેવાળી વ્યક્તિ જ્યારે જૂનાગઢ પટેલ કેળવણી મંડળના આ વિવાદને વડીલો અને આગેવાનો સાથે મળીને સમાધાનકારી રસ્તે પૂર્ણ કરવાની સલાહ આપે છે, ત્યારે ચેતન ફળદુ એકાએક ઉશ્કેરાઈ જાય છે અને ગાળોનો વરસાદ શરૂ કરી દે છે. આ વાતચીત દરમિયાન ચેતન ફળદુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મામલે કોઈ સમાધાન કરવાનું થતું નથી. તેમણે ધારાસભ્ય સંજય કોરડિયા અને નિલેશભાઈ પર આક્ષેપ કર્યો કે, આ લોકો પૈસા આપીને આ બધું કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્યને પણ બિભસ્ત શબ્દો કહ્યાંજ્યારે સામેવાળી વ્યક્તિએ ધારાસભ્ય સંજય કોરડિયાનું નામ લીધું, ત્યારે ચેતન ફળદુએ અત્યંત હલકી કક્ષાની ભાષા વાપરતા કહ્યું કે, સંજયને ખબર નથી કે હું કોણ છું. એ ધારાસભ્ય થઈ ગયો એટલે નાના માણસો તેને સાલ ઓઢાડે છે અને ભાઈ-ભાઈ કરે છે. પણ તેને ખબર નથી કે, મારો જન્મ થયો ત્યારે જ મારા દાદા જામજોધપુરના ધારાસભ્ય હતા. એટલું જ નહીં, તેમણે ચારિત્ર્યની શંકાના આધારે મોલા બાપાએ આ લોકોને કારોબારીમાંથી કાઢી મૂક્યા હોવાનો અને તેનો લેટર પોતાની પાસે હોવાનો પણ દાવો કર્યો હતો. ઉપવાસ પર બેઠેલા લોકો વિરુદ્ધમાં પણ ગેરબંધારણીય શબ્દો કહ્યાંવીડિયોમાં ચેતન ફળદુએ ઉપવાસ પર બેઠેલા વાલીઓ વિશે પણ અત્યંત ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દો વાપર્યા છે. તેમણે થાણાપીપળી ગામના વાલીઓ વિશે બોલતા કહ્યું કે, આ લોકો પટેલ જ્ઞાતિના નથી અને અન્ય જ્ઞાતિના છે. તેમણે મંડળની સંસ્થામાં ભણતી દીકરીઓનો ઉલ્લેખ કરી અહેસાન જતાવતા કહ્યું કે, મફતમાં આપણી સંસ્થામાં એક દીકરી છ વર્ષથી ભણતી હોય અને એક રૂપિયો ફી નથી વધારી. પપ્પાની એક જ વાત છે કે, આપણે રૂપિયા બનાવવા માટે આ સંસ્થા નથી ચલાવતા. તેણે આક્ષેપ કર્યો કે, ઉપવાસ પર બેઠેલા 14માંથી 11 લોકો થાણાપીપળીના છે અને તેઓ આમ આદમી પાર્ટીની ટીમ છે. તેમણે ચેતવણી આપી કે, જો જરૂર પડશે તો તેઓ મંડળના નામે નહીં પણ પોતાની બીજી શૈલીમાં જવાબ આપશે અને નગ્ન વીડિયો વાઇરલ કરવાની પણ ઉદ્ધત વાત કરી હતી. મહેરબાની કરીને સમાજમાં ફાંટા પાડવાનું બંધ કરોઃ ચંદ્રેશ જારસાણીયાઆ વીડિયો વાઇરલ થતા જ જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓના વિરોધમાં ઉપવાસ પર બેઠેલા વાલીઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રેશ જારસાણીયાએ જણાવ્યું હતું કે, અમે કાંતિ ફળદુના અગાઉના ગેરવર્તન સામે અને ટ્રસ્ટીઓના રાજીનામાની માગ સાથે અહીં ઉપવાસ પર બેઠા છીએ. આજે વાઇરલ થયેલા વીડિયોમાં ચેતન ફળદુએ અમને બીજી જ્ઞાતિના દીકરા કહ્યા છે, પણ અમે તેમને કહેવા માંગીએ છીએ કે, અમે એ જ જ્ઞાતિના છીએ, જે જ્ઞાતિના તમે છો. મહેરબાની કરીને સમાજમાં ફાંટા પાડવાનું બંધ કરો. આ પણ વાંચો... 'કાંતિ ફળદુ ગુંડાઓની ગેંગ બનાવો, ટ્રસ્ટીમાં ન ચાલો', પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓનો મોરચોસંસ્થાની ગરિમા જાળવવા ટ્રસ્ટીઓના રાજીનામાની માગ પર વાલીઓ અડગ જૂનાગઢમાં આ કિસ્સાને લઈ હાલ ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ ટ્રસ્ટીના પુત્રનો સત્તા અને વારસાનો અહંકાર વીડિયોમાં છલકાઈ રહ્યો છે, તો બીજી તરફ વાલીઓ સંસ્થાની ગરિમા જાળવવા ટ્રસ્ટીઓના રાજીનામાની માગ પર અડગ છે. ધારાસભ્ય સંજય કોરડિયા સામે કરાયેલી અભદ્ર ટિપ્પણીને પગલે રાજકીય વર્તુળોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સંસ્થાના અન્ય જવાબદાર ટ્રસ્ટીઓ અને જૂનાગઢનું વહીવટી તંત્ર આ ગંભીર મામલે શું કાર્યવાહી કરે છે.
ગાંધીનગર સુઘડના યુવાન બિલ્ડર ઋષભ પટેલના ચકચારી આત્મહત્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી ફરાર આ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા હવે આ સમગ્ર પ્રકરણના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જાન્યુઆરીમાં ઋષભ પટેલે આપઘાત કર્યો હતોઉલ્લેખનીય છે કે, ગાંધીનગર નજીક સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલે ગત જાન્યુઆરીમાં માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે મરનારના પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે કોબાની નેસ્ટ રેસીડેન્સીના કલ્પેશ તલાટી, નાના ચિલોડાના મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, ક્રિષાલ ઉર્ફે વિક્રમ પટેલ અને પાન પાર્લર ચલાવતા મહિપાલસિંહ વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવાના ગુના હેઠળ તપાસ શરૂ કરી હતી. કલ્પેશ તલાટી ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયોઆ અગાઉ પોલીસે મહિપાલસિંહની ધરપકડ કરી લીધી હતી, પરંતુ અન્ય ત્રણ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તપાસ દરમિયાન એવી વિગતો પણ સામે આવી હતી કે, ધરપકડથી બચવા માટે કલ્પેશ તલાટી સહિતના આરોપીઓ નેપાળમાં છુપાયા હોવાની પ્રબળ શંકા હતી. પોલીસની સતત વધતી જતી ભીંસ અને સર્વેલન્સને કારણે આખરે કલ્પેશ તલાટી ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયો હતો. આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરીહાલ પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે કલ્પેશની પૂછપરછમાં ઋષભ પટેલને આત્મહત્યા સુધી દોરી જનારા ચોક્કસ કારણો અને અન્ય ફરાર આરોપીઓ મનીષ અને ક્રિષાલના ઠેકાણા વિશે મહત્વની કડીઓ મળી શકે તેમ છે.
જામનગર તાલુકાના કોમી એકતાના પ્રતીક સમા મસીતીયા ગામે હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના ઉર્ષ નિમિત્તે શનિવારે પરંપરાગત ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસમાં સૌરાષ્ટ્રભરના 30થી વધુ જાતવંત ઘોડા અને ઘોડાસવારોએ ભાગ લીધો હતો. આ વર્ષની ઘોડા રેસમાં હાજી અયુબભાઈ ખફીનો 'જલાલી 1616' નામનો ઘોડો પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. ઊંટ ગાડીની રેસમાં અશરફ અલ્તાફ ખફીનો ઊંટ પ્રથમ ક્રમે આવ્યો હતો. મસીતીયા ગામની આ પરંપરાગત ઘોડા રેસમાં વિજેતા થનાર ઘોડાસવારને રોકડ રકમ કે અન્ય કોઈ પુરસ્કારને બદલે પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવે છે. આ મોભાદાર પાઘડી મેળવવા દર વર્ષે મોટી સંખ્યામાં જાતવંત ઘોડા સાથે ઘોડાસવારો ઉત્સાહભેર જોડાય છે. રેસ બાદ મસીતીયા ગામના સરપંચ કારાભાઈ ખફી દ્વારા વિજેતાઓને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે. રાઠોડ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે રાત્રે કવ્વાલીનો ભવ્ય કાર્યક્રમ અને આમનિયાઝનું પણ આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના લોકો આ ઉર્ષ પ્રસંગે મસીતીયા ગામની મુલાકાત લઈને કોમી એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબા ઉર્ષ કમિટીના યુવાનોએ આયોજનમાં જહેમત ઉઠાવી હતી. મસીતીયા ગામના સરપંચ કારાભાઈ ખફી, હાજી કાસમભાઈ ખફી, પૂર્વ સરપંચ ગફારભાઈ ખફી, અલતાફભાઈ ખફી, જાવિદ કાસમભાઈ ખફી અને આરીફ પઠાણી સહિતના આગેવાનોએ આ પરંપરાગત ઘોડા રેસને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
IIM અમદાવાદનો 61મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ગ્રેમી-એવોર્ડ વિજેતા સંગીતકાર, બિઝનેસ લીડર, હ્યુમનિટેરિયન ચંદ્રિકા ટંડન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. ચંદ્રિકા ટંડન દ્વારા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાય સંદેશો પણ આપ્યો હતો. 61મા પદવીદાન સમારંભમાં અલગ-અલગ કોર્સના કુલ 629 વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તેમજ 5 જેટલા વિદ્યાર્થીઓને તેમની અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા61મા પદવીદાન સમારંભમાં ચાર કાર્યક્રમના 629 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં ડોક્ટરલ મેનેજમેન્ટ પ્રોગ્રામના 20 વિદ્યાર્થીઓ, બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટના 408 વિદ્યાર્થીઓ, બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના 45 વિદ્યાર્થીઓ અને એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટના 156 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. એમબીએ-પીજીપીના વિરાજ મોદી, અક્ષિત મિત્તલ અને દેવવ્રત વાગલે, એમબીએ-એફએબીએમના જાગૃતિ ગોયલ, અને એમબીએ-પીજીપીએક્સના હર્ષ મોદીને મુખ્ય મહેમાન દ્વારા તેમની અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘એક જ માર્ગ પર અટવાઈ જશો નહીં, સફળતાઓ ગલીઓમાં થતી નથી’ગ્રેમી-પુરસ્કાર વિજેતા સંગીતકાર ચંદ્રિકા ટંડને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સંકલિત બુદ્ધિમત્તા માટેના ચાર માર્ગદર્શક મંત્રો અપનાવવા જોઈએ. આંતરસૂઝ, હેતુ, આંતરિક સ્થિરતા અને પ્રભાવ. વિદ્યાર્થીઓએ બહાર નીકળવાની જરૂર છે, પછી ભલે તે ગમે તે હોય. વ્યૂહાત્મક રીતે શોધખોળ કરો. વિવેચનાત્મક રીતે વિચારો. એક જ માર્ગ પર અટવાઈ જશો નહીં, કારણ કે સફળતાઓ ગલીઓમાં થતી નથી. તમારાથી દૂર રહેલી દુનિયા વિશે સતત જાણો, પરંતુ તમારે આકસ્મિક જીવનથી ઇરાદાપૂર્વકના જીવનમાં આગળ વધવું જોઈએ. ધ્યેય ગમે તેટલો પડકારજનક હોય, સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતા સાથે યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે ઇરાદાની જરૂર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ઇન્ટિગ્રેટિવ ઇન્ટેલિજન્સ-સંકલિત બુદ્ધિમત્તા એટલે સંપૂર્ણ માનવ બનવું. તે સાચું નેતૃત્વ કરશે.
અમદાવાદ શહેરમાં બે અલગ અલગ રોડ અકસ્માતમાં બે યુવકના મોત થયા છે. દાણીલીમડાના વેપારી ટુવ્હીલર લઈને પીરાણા ડમ્પ સાઈટ પર જતા હતા, ત્યારે ડમ્પરે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું મોત થયું છે. જ્યારે વિકટોરીયા ગાર્ડન પાસેથી રોડ ક્રોસ કરતા યુવકનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નિપજ્યું હતું. બન્ને અકસ્માત અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડમ્પરની ટક્કરથી ટુવ્હીલર ચાલકનું મોતદાણીલીમડાના ઠાકોરવાસમાં 45 વર્ષીય માજીદભાઈ રંગરેજ પરીવાર સાથે રહે છે. 27 તારીખે સવારના સમયે તેઓ પોતાનું ટુવ્હીલર લઈને અજમેરી ફાર્મની સામે આવેલી પીરાણા ડમ્પ સાઈટની અંદર જઈ રહ્યા હતા. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા એક ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ પડેલા માજીદભાઈને માથા, મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકે જીવ ગુમાવ્યોઅન્ય બનાવમાં ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને સિવિલ હોસ્પિટલ તરફથી વર્ધી મળી હતી કે, વિકટોરીયા ગાર્ડન પાસે એક અકસ્માત થયો છે. જેથી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, 40 વર્ષીય કલ્પેશ પવાર (રહે.વિકટોરીયા ગાર્ડન) 24 તારીખે રાત્રિના સમયે વિકટોરીયા ગાર્ડ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા કલ્પેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા તેમના મત વિસ્તારના લોકોના પ્રશ્નો અને રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે નવનિર્મિત જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને લોકસભાના દંડક ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યાલય કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું સેવા કેન્દ્ર બનશે. લોકાર્પણ વિધિ બાદ મીડિયા સાથે વાતચીત કરતા નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર જ લોકોની સેવા કરવાના છે. દરેક ધારાસભ્ય માટે જન સંપર્ક કાર્યાલય હોવું અનિવાર્ય છે, જેથી લોકો પોતાની સમસ્યાઓ સીધી રીતે રજૂ કરી શકે. લોકસભાના દંડક ધવલ પટેલે આ કાર્યાલયને કાર્યકરો માટે 'મંદિર' ગણાવ્યું હતું, જ્યાંથી જનતાના હિતની નીતિઓ અને સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર થશે. ધારાસભ્ય ભરત પટેલે કાર્યાલયની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કાર્યાલય અગાઉ પણ કાર્યરત હતું, પરંતુ હવે તેને વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે. અહીં બે ઓપરેટરોની નિમણૂક કરવામાં આવી છે અને કોમ્પ્યુટર તથા ટેકનોલોજીની મદદથી સરકારી યોજનાઓનું માર્ગદર્શન અપાશે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ આ કાર્યાલય કેન્દ્રસ્થાન બનશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અરવિંદ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ ધારાસભ્ય ભરત પટેલને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
બોટાદમાં ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ:લોયાધામ દ્વારા ધામધૂમથી ઉજવણી, હરિભક્તો ઉમટ્યા
બોટાદ ખાતે ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પટેલ સમાજની વાડી, ગોવિંદ પાર્ક સોસાયટી, પાળીયાદ રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આ ઉત્સવ યોજાયો હતો.આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ, ચોકલેટ અન્નકૂટ, ધૂન-ભજન-કીર્તન અને રાસોત્સવ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરજુવલ્લભ સ્વામી દ્વારા સુંદર શૈલીમાં કથા વાર્તાનું આયોજન થયું હતું, જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ સત્સંગ સભામાં લાભ લીધો હતો.લોયાધામથી પધારેલા સંતોએ આ કાર્યક્રમ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી. અંતે, બોટાદના હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
જામનગરમાં 28 ગામોમાં જળ સંચય કાર્ય શરૂ:ઠેબા ગામમાં તળાવ ઊંડા ઉતારવાનું કામ 28 માર્ચે શરૂ થયું
જામનગર જિલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવો ઊંડા ઉતારી જળ સંચય કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, 28 માર્ચના રોજ ઠેબા ગામમાં કામનો પ્રારંભ થયો હતો. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયોજકો શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા તેમજ રોટરી ક્લબ જામનગરના પ્રમુખ હિતેશ ચાંદરિયા, સેક્રેટરી નિહાર માલદે અને સભ્યો મિલન શાહ, ડો. રૂપેન દોઢીયા, જીતેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઠેબાના સરપંચ હાર્દિક મુંગરા અને ગ્રામજનોની હાજરીમાં નવકાર મંત્રના પઠન બાદ માટી-કાંપ દૂર કરવાના કાર્યનો શુભારંભ કરાયો હતો. ઠેબાના તળાવમાં સવા કરોડ લિટરથી વધુ વરસાદી જળનો સંગ્રહ થશે. આનાથી ગામના અનેક ખેડૂતો, પશુ-પક્ષીઓ અને ઢોર-ઢાંખરને લાભ મળશે. જામનગર જિલ્લામાં જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ જામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વ-ભંડોળથી ડબાસંગ, આરીખાણા, બાલાચડી, નેસડા, મચ્છુ-બેરાજા, સડોદરમાં ફૂલનાથ મહાદેવ મંદિર અને રાવલસર જેવા અનેક ગામોમાં જળ સંચયના કાર્યો હાલ ચાલી રહ્યા છે. બંને સંસ્થાઓ દ્વારા આ ભગીરથ કાર્યમાં તન, મન અને ધનથી જોડાવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે. વરસાદી પાણીને વહી જતું અટકાવવું અત્યંત જરૂરી છે. લોકો પોતાના ઘર કે ફેક્ટરીની છત પર પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરે તો જળસ્તર ઊંચું આવે અને પાણીની ગુણવત્તા પણ સુધરે. જળ સંચયના કાર્યમાં માર્ગદર્શન માટે સંસ્થાનો સંપર્ક કરી શકાય છે.
અમરેલી જિલ્લા પોલીસને “મિશન સ્માઈલ-સ્પર્શની સમજ” પહેલ માટે પ્રતિષ્ઠિત સ્કોચ સ્ટેટ ગવર્નન્સ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં યોજાયેલા એક સમારંભમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને DySP નયના ગોરડિયાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સિદ્ધિથી સમગ્ર ગુજરાત પોલીસ ગૌરવ અનુભવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ સુરક્ષાને પ્રાથમિકતા આપતી આ પહેલ સૌપ્રથમ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષથી સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. જિલ્લામાં વધતા બાળ લૈંગિક ગુનાઓને અટકાવવાના ઉદ્દેશ્યથી આ “મિશન સ્માઈલ (Safe Moments in Loving Environment)” શરૂ કરવામાં આવ્યું હતું. DySP નયના ગોરડિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 20 ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોને યુએન કમિટી ઓન ચાઈલ્ડ સેફ્ટી અંતર્ગત વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ આ ટીમોએ જિલ્લાની શાળાઓમાં જઈ બાળકો, વાલીઓ અને શિક્ષકોને બાળ લૈંગિક સુરક્ષા અને અધિકારો અંગે જાગૃત કર્યા હતા. દેશભરમાંથી 300થી વધુ સંસ્થાઓ અને સરકારી વિભાગોમાંથી થયેલા નામાંકનમાંથી અમરેલી જિલ્લા પોલીસની પસંદગી થવી એ ગૌરવની બાબત છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ બાળકો સુધી પહોંચીને પોલીસે બાળ સુરક્ષા, ગુનાઓની અટકાયત અને બનાવ બાદ યોગ્ય કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ જાગૃતિ ફેલાવવામાં સફળતા મેળવી છે. આ સાથે સમાજ અને પરિવારને પણ આ વિષય પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
વલસાડ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ખાતે નવનિર્મિત પેડેસ્ટ્રીયન બ્રિજ (વોક-વે) ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સ્થિત અટલ બ્રિજ જેવી જ અનુભૂતિ કરાવતો હોવાથી પ્રવાસીઓમાં તે 'મિની અટલ બ્રિજ' તરીકે લોકપ્રિય બન્યો છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓલંબાઈ અને પહોળાઈ: આ પેડેસ્ટ્રીયન બ્રિજ 126 મીટર લાંબો અને 5.50 મીટર પહોળો છે. કનેક્ટિવિટી: ઉમરસાડી દેસાઈવાડથી દરિયા કિનારા સુધી પહોંચવા માટે વચ્ચે આવતી ખાડી ઓળંગવા આ વોક-વે આશીર્વાદરૂપ સાબિત થશે. ખર્ચ: બ્રિજ અને રસ્તાના વાઈડનિંગ પાછળ કુલ 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રવાસન સર્કિટનો વિકાસ લોકાર્પણ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર વલસાડ જિલ્લામાં એક મજબૂત પ્રવાસન સર્કિટ વિકસાવવા માટે કટિબદ્ધ છે. આ સર્કિટમાં વિલ્સન હિલ, કપરાડા, પારનેરા અને નારગોલ બીચ જેવા પ્રવાસન સ્થળોને સાંકળવામાં આવશે. ઉમરસાડી પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો છે અને આગામી સમયમાં ફેઝ-2 અંતર્ગત અહીં પાર્કિંગ, ફૂડ સ્ટોલ્સ અને બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. રોજગારીની નવી તકોપ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સ્થાનિક સ્તરે ખાણી-પીણી અને અન્ય વ્યવસાયો દ્વારા રોજગારીની નવી તકો ઊભી થશે. ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ પહેલા જ આ વોક-વે સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા હતા. આધુનિક સુવિધાઓથી સજ્જ બીચપ્રવાસીઓની સુવિધા માટે સ્થાનિક સાંસદના ફંડમાંથી 25 બાંકડા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાત્રિના સમયે પણ સહેલાણીઓ દરિયા કિનારાની મુલાકાત લઈ શકે તે માટે હાઈમાસ્ટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ ઉમરસાડી બીચને તીથલ બીચની જેમ આધુનિક રીતે ડેવલપ કરવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
રાધનપુરમાં શ્રી વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરચાવડા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વઢીયાર, ચોરાડ અને વાગડ આહીર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાના ઉદ્દેશ્યથી આ સંકુલનું નિર્માણ દાતાઓના સહયોગથી કરાયું છે. આ સંકુલ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણના નવા દ્વાર ખોલશે. લોકાર્પણ સમારોહમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ 51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પણ 31 લાખ રૂપિયાનું દાન આપી સંસ્થાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે. આ સંકુલ દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે મંડળના આ પ્રયાસને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગાએ કહ્યું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસ માટેનું શક્તિશાળી સાધન છે. આ સંકુલ વિદ્યાર્થીઓને નવી દિશા અને પ્રેરણા આપશે, જે સમાજને પ્રગતિના માર્ગે દોરી જશે. સમારોહમાં સંસ્થા માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભગા બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સહિત સમાજના આગેવાનો, યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરના સેક્ટર-25 જીઆઈડીસીમાં આવેલી HBC લાઈફ સાયન્સ કંપનીના ઓડિટમાં કૌભાંડ પકડાતા મહિલા એકાઉન્ટન્ટના અપહરણ અને મારપીટના ગુનામાં ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરતા રાજકીય ચકચાર મચી ગઈ છે. ઓડિટમાં 85 લાખના શંકાસ્પદ વ્યવહારો મળ્યાઅમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા મહિલા HBC લાઈફ સાયન્સમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. કંપનીના માલિક હિમાંશુભાઈ પટેલે પોતાની બીજી કંપની મેક્સિમસ હોલીડે પ્રા.લિ. ના ઓડિટની જવાબદારી સોંપી હતી. આ ઓડિટ દરમિયાન મહિલાએ અંદાજે 80 થી 85 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અને બિલો વગરની ચૂકવણીઓ પકડી પાડી હતી. આ કૌભાંડ બહાર આવતા કંપનીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. મહિલાનું બળજબરીપૂર્વક હેરિયર ગાડીમાં અપહરણફરિયાદ મુજબ, 26 માર્ચના રોજ બપોરે કંપનીના પાર્કિંગમાંથી મહિલાનું બળજબરીપૂર્વક ગ્રીન કલરની હેરિયર ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. ચાલુ ગાડીમાં આરોપી સપના ડુમરે અને રિષા દેસાઈએ મહિલાના વાળ ખેંચી, લાફા અને મુક્કા મારી ગંભીર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે જો આ હિસાબોની વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખી ક્યાંય દાટી દઈશું. AAPના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડઆ ઘટના બાદ ભયભીત થયેલી મહિલાએ જ્યારે કંપનીના માલિક હસમુખભાઈ પટેલને ફોન કરીને હકીકત જણાવી હતી, ત્યારે તેઓએ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ હિંમત દાખવી સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ મામલે પોલીસે કડક વલણ અપનાવી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સેકટર 21 પોલીસ મથકે નોંધાયેલા BNS કલમ 137(2), 351(3), 352, 115(2), 61(1)એ, 54 મુજબ આમ આદમી પાર્ટીમા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હસમુખ શકરભાઇ પટેલ ઉ.વ. (રહે. સિધ્ધીવિનાયક બંગલોઝ, નાયરા પેટ્રોલપંપની પાછળ, સરગાસણ, મૂળ પાટણ) ની ધરપકડ કરી લેવાઈ છે. હસમુખ પટેલે વર્ષ 2020-21માં AAPના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે કામ કર્યું હતુંહસમુખભાઇ પટેલે વર્ષ 2020-21માં આમ આદમી પાર્ટીમા ગુજરાત રાજય, પ્રદેશ સંગઠન મંત્રી તરીકે કામકાજ કર્યું હતું. હસમુખ પટેલ તથા તેના ભાઇ હિમાંશુ પટેલની માલિકીની HBC લાઇફ સાયન્સ પ્રા.લિ. કંપની તથા મેક્સિમસ હોલીડે પ્રા. લિ.,માં કામ કરતા ફરિયાદી મહિલાને આરોપી હિમાંશુભાઇ તથા સપના ડુમરેએ તેમની કંપનીના બેનામી હિસાબો તેમજ કંપનીના ખોટા ટ્રાન્જેક્શનો સંબધી માહિતી ક્યાંય લીક થશે અથવા કંપનીને તેમનાથી કોઇ નુકશાન થશે તેવા ભયથી હસમુખભાઇના કહેવાથી હિમાંશુ પટેલ તથા સપના ડુમરે તથા રિષા દેસાઇ દ્વારા ભેગા મળી પુર્વ આયોજીત પ્લાન બનાવી હિમાંશુ પટેલની ગાડીમાં ફરિયાદીનું અપહરણ કરી ધાક-ધમકી આપી મુઢ માર મારી ઇજાઓ કરાઈ હતી.
પાટડીની વિદ્યાર્થીની રુમીનબાનુ સોયબમહંમદ જુણેજાને તેમની અનોખી શોધ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ શોધ વરસાદ દરમિયાન કપડાંને આપોઆપ શેડની અંદર લઈ લેતી ટેકનોલોજી પર આધારિત છે. આ ટેકનોલોજી એવી રીતે વિકસાવવામાં આવી છે કે જ્યારે વરસાદ આવે અને કપડાં બહાર સુકાતા હોય, ત્યારે જો ઘરમાં કોઈ હાજર ન હોય તો પણ કપડાં આપમેળે શેડની અંદર આવી જાય છે. આનાથી કપડાંને વરસાદથી બચાવી શકાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલા 'સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી નમો લક્ષ્મી યોજના સરસ્વતી વિજ્ઞાન સાધના કાર્યક્રમ' અંતર્ગત રુમીનબાનુને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્નભાઇ વાંઝા અને રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રુમીનબાનુ અમદાવાદની શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય (SNGV) માં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. તેઓ પાટડીના ભૂતપૂર્વ જાણીતા શિક્ષક અબ્દુલભાઈ જુણેજા (ચાચા સાહેબ)ના પૌત્રી છે, જેમણે પાટડી પંથકમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રુમીનબાનુની આ શોધ સુરેન્દ્રનગર જિલ્લા, પાટડી-દસાડા પંથક અને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયક બની રહી છે. અગાઉ પણ તેમણે સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત સ્તરે સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
મોરબીમાં ₹106 કરોડના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત:બ્રિજ સહિતના પ્રોજેક્ટ્સથી શહેરના વિકાસને વેગ મળશે
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 106 કરોડથી વધુના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તથા કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વિકાસ કામોમાં એક નવા બ્રિજના નિર્માણનો પણ સમાવેશ થાય છે, જે મોરબીમાં છઠ્ઠો બ્રિજ બનશે. અગાઉ શહેરમાં પાંચ બ્રિજ કાર્યરત હતા. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. ખાતમહુર્તનો કાર્યક્રમ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અગાઉની સરખામણીમાં હવે વિકાસ કાર્યો અનેક ગણી વધુ ગતિથી થશે. તેમણે ખાતરી આપી હતી કે લોકોની જરૂરિયાત મુજબના તમામ વિકાસ કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે, જેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થાય. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે તેનું વાર્ષિક બજેટ રૂ. 100 કરોડ હતું. મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ વર્ષે રૂ. 700 કરોડથી વધુ અને બીજા વર્ષે રૂ. 1100 કરોડથી વધુનું બજેટ બનાવવામાં આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ઔદ્યોગિક નગરી મોરબી એક નમૂનેદાર શહેર તરીકે ઓળખાશે. આ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રીસીપ કૈલા, મહામંત્રી ભાવેશ કંજારીયા અને ભુપત જારીયા, તેમજ ભાજપના આગેવાનો જયંતી પટેલ, જેઠાભાઇ મિયાત્રા, જયરાજસિંહ જાડેજા, કેતનભાઇ વીલપરા, ચંદુ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ફરી એકવાર વિવાદોમાં અને સ્થાનિકો માટે જોખમી સાબિત થઈ રહી છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટની લાપરવાહીને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા અને વાહનચાલક સહિત બે વ્યક્તિઓ અચાનક 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વાહનચાલક મહિલા સહિત બે અચાનક ખુલ્લા ખાડામાં પટકાયામળતી માહિતી મુજબ, પર્વત પાટિયાના વ્યસ્ત એવા કબૂતર સર્કલ પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. આજે સાંજે અહીં રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલક મહિલા સહિત બે અચાનક જ ખુલ્લા ભયજનક ખાડામાં પટકાયા હતા. મેટ્રો પ્રોજેક્ટ માટે બનાવવામાં આવેલો આ ખાડો અંદાજે 20 ફૂટ ઊંડો હોવાનું જણાવાયું છે. ક્રેનની મદદથી ખાડામાં ફસાયેલી મહિલા-પુરુષને બહાર કઢાયાઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક પ્રશાસન તથા મેટ્રોના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ખાડો ઊંડો હોવાને કારણે લોકોને બહાર કાઢવા મુશ્કેલ હતા, જેથી મેટ્રો સાઇટ પર હાજર ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રેનની મદદથી ખાડામાં ફસાયેલી મહિલા અને પુરુષને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભોગ બનનાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સુરક્ષાના બોર્ડે કે બેરિકેડિંગ ન હોવાથી સ્થાનિકોમાં પાલિકા સામે રોષમેટ્રો પ્રોજેક્ટની કામગીરીમાં સુરક્ષાના સાધનો કે બેરિકેટિંગના અભાવે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે, રાત્રિના સમયે પણ પૂરતી લાઈટિંગની વ્યવસ્થા હોતી નથી. જોખમી ખાડાઓની આસપાસ મજબૂત ફેન્સિંગ કરવામાં આવતું નથી. જમીન ધસવાની શક્યતા હોવા છતાં બેદરકારી રાખવામાં આવે છે.
SOGની કાર્યવાહી:ચેક રિટર્ન કેસમાં સજા પામેલો વોન્ટેડ આરોપી રવજીને ઘોઘા ગેઈટ પાસેથી ઝડપાયો
ભાવનગર શહેર અને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ લાંબા સમયથી ફરાર રહેલા રવજીને ઘોઘા ગેઈટ ચોક વિસ્તારમાંથી S.O.G. ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, આ બનાવ અંગે એસઓજી કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગરના રવજી બુધીલાલ ચૌહાણ ઉં.વ.50, રહે.અગરીયાવાડ, કરચલીયા પરા વિરુદ્ધ ભાવનગરની બીજ એડી. સીનિયર સિવિલ જજ ની કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો ફોજદારી કેસ ચાલી રહ્યો હતો, આ કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે, આરોપી કોર્ટમાં હાજર ન થતા તેની વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, બાતમીના આધારે S.O.G. પોલીસે આજે આરોપી રવજીભાઈ ચૌહાણને ઘોઘાગેટ ચોક વિસ્તારમાંથી ઝડપી લીધો હતો,પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની તપાસ માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સુસેન સર્કલથી જ્યુપિટર ચાર રસ્તા તરફ જતા રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને બાઇક સવારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઇજાગ્રસ્ત વ્યક્તિ કોંગ્રેસના શહેર મંત્રી હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કોંગ્રેસ શહેર મંત્રીને ફૂલ સ્પીડે આવતી ટ્રિપલ સવારી બાઈકે અડફેટે લીધાવડોદરાના સુસેન સર્કલથી જ્યુપિટર ચાર રસ્તા તરફ જતા રોડ પર એક અકસ્માતની ઘટના બની હતી. જ્યાં રોડ ક્રોષ કરી રહેલા કોંગ્રેસ શહેર મંત્રીને ફૂલ સ્પીડે આવતી એક ટ્રિપલ સવારી બાઈકે અડફેટે લીધા હતા. બાઇકની ટક્કર એટલી ભયાનક હતી કે રોડ પર ચાલતો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે. હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાતા ચારેય યુવકો રોડ પર દૂર સુધી ઢસડાયાઆ અકસ્માતની આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઇક પર ત્રણ યુવાનો સવાર થઈ ફૂલ સ્પીડે આવે છે અને રાહદારી વ્યક્તિને ટક્કર મારે છે. જેમાં ચારે ચાર યુવકો રોડ પર ઢસડતા દેખાય રહ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિ કોંગ્રેસના શહેર મંત્રી હોવાનું જાણવા મળ્યુંમાંજલપુર પોલીસે આ મામલે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઇજાગ્રસ્ત વ્યક્તિ કોંગ્રેસના શહેર મંત્રી હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેઓને સર્જરી કરવાની પણ જરૂરિયાત હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.
બનાસકાંઠા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અને ઉમેદવારો પર ચર્ચા
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મુખ્યત્વે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ ઉપરાંત, પક્ષના આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો અને ચૂંટણી પ્રક્રિયામાં કઈ રીતે આગળ વધવું તે અંગેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી સમયમાં દરેક તાલુકામાં હાથ ધરવામાં આવનાર સેન્સ પ્રક્રિયા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શૈક્ષણિક સત્ર 2025 ના પ્રથમ ધોરણના પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દીકરી હોય, તેઓને પ્રવેશ પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે. આ અગ્રતાનો લાભ લેવા માટે જરૂરી સિંગલ ગર્લ ચાઇલ્ડ પ્રમાણપત્ર રાજકોટ મહાપાલિકા દ્વારા ઈશ્યુ કરવામાં આવશે. જે દીકરીઓનો જન્મ 1 જૂન 2018થી 30-મે 2019 દરમિયાન થયો હોય તેમના વાલીઓ તારીખ 04/04/2026 થી 17/04/2026 સુધી રાજકોટ મનપાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીનાં સિવિક સેન્ટર પરથી કામકાજના દિવસોમાં સવારે 10.30 થી સાંજે 6.00 કલાક દરમિયાન આ પ્રમાણપત્ર મેળવી શકશે. આ પ્રમાણપત્ર મેળવવા માટે વાલીઓએ મનપાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અરજી સાથે બાળકનું જન્મનું પ્રમાણપત્ર, માતા-પિતાના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે. ઉપરાંત, નિયત નમૂના મુજબ રૂ. 50 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ્ડ સોગંદનામું પણ જોડવાનું રહેશે. આવતીકાલથી સમર શેડ્યુલ અમલી બનશે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે દરરોજ 14 ફ્લાઇટ રાજકોટ હિરાસર એરપોર્ટને ઇન્ટરનેશનલ દરજ્જો હોવા છતાં કોઇ આંતરરાષ્ટ્રીય ફલાઇટ હજુ શરુ થઇ નથી. ત્યાં ડોમેસ્ટીક ફલાઇટ માટે સમર શિડ્યૂલ લાગુ થયું છે. જેને લઈને દરરોજ 14 ફલાઇટો ઉડાન ભરશે. હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતીકાલથી લાગુ થતું સમર શિડ્યુલ ડીસેમ્બર સુધી અમલમાં રહેશે. સમર શિડ્યુલમાં ફલાઇટની સાથોસાથ એકાદ-બેના સમયમાં પણ ફેરફાર છે. મુંબઇ સાથેની એર કનેકટીવીટીમાં વધારો થયો છે. જેમાં નસવાર-સાંજની નવી મુંબઇ માટે એક-એક ફલાઇટ શરુ થશે. મુંબઇની અન્ય 3 ફલાઇટ યથાવત છે. દિલ્હીની ચાર તથા બેંગ્લોર-હૈદ્રાબાદની એક-એક ફલાઇટ છે. પુનાની અઠવાડિયામાં ફલાઇટ ઉડાન ભરશે. ગોવાની વિમાની સેવા અટકાવી દેવામાં આવી છે. આ સિવાય આંતર જિલ્લા હવાઇ સેવા અંતર્ગત સુરતની ફલાઇટ ઉડાન ભરશે. હૈદ્રાબાદની ફલાઇટનો સમય બદલાયો છે. હવે બપોરને બદલે રાત્રે આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી રામ મોહન નાયડુ કાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. એરપોર્ટ પર ઉડાન માટેનું ઉદ્ઘાટન કરશે. ત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય ફલાઇટ વિશે કોઇ સંકેત આપે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે. રાજકોટમાં માર્ચ એન્ડિંગને લઈ રજાના દિવસોમાં પણ દસ્તાવેજ કરી શકાશે, સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રહેશે રાજકોટની તમામ 18 સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજે ચોથા શનિવારની રજા હોવા છતાં માર્ચ એન્ડિંગના ધસારાને પહોંચી વળવા માટે કાર્યરત રહી હતી. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે મિલકત દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે રજાના દિવસોમાં પણ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યવસ્થાના ભાગરૂપે આગામી 31 માર્ચના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મજયંતીની જાહેર રજા હોવા છતાં શહેરની તમામ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલકત રજીસ્ટ્રેશનની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. સાથે અરજદારોની સુવિધા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સ્લોટ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા સળંગ ચાલુ રાખવામાં આવશે. માર્ચ એન્ડિંગ દરમિયાન અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે અને વધુમાં વધુ કામગીરી પૂર્ણ થઈ શકે તે હેતુથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 31 માર્ચ, સોમવારના રોજ કચેરીઓ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી ધમધમતી રહેશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઝીંઝરી ગામે એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં સોલાર પ્લાન્ટના સંચાલકોની લાલચ અને વહીવટી તંત્રની મીલીભગતનો ભોગ એક 14 વર્ષનો નિર્દોષ સગીર બન્યો છે. રાજકોટની માર્કલ સ્પિનિંગ નામની કંપની દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરાયેલા બાંધકામ પર પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈન તુષાર ગેડા નામના સગીર માટે જીવલેણ સાબિત થઈ છે. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે ગેડા પરિવારના આંગણે હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પિતાની તરસ છિપાવવા પાણીનો લોટો લઈને અગાશી પર ગયેલા પુત્રને કાળ આંબી ગયો અને આખું ગામ અરેરાટીમાં ગરકાવ થઈ ગયું છે. જે સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે તેના ડાયેરક્ટરે પોતાની ભૂલના કારણે આ ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો હતો. ચાલુ વીજલાઈન હોવા છતા નીચે ઓરડીનું કામ ચાલતું હતુંઆ કરુણ ઘટના અંગે મૃતક સગીરના કાકા ભરતભાઈ ગેડાએ 'દિવ્ય ભાસ્કર' સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ અને તેમનો ભાઈ ચંદ્રકાંતભાઈ કામ કરવા માટે આ મકાનની અગાશી પર ગયા હતા. તેમની સાથે તેમનો ભત્રીજો પણ ત્યાં હાજર હતો. અગાશી પર કામ શરૂ કરતા પહેલા ત્યાં હાજર લોકોએ તેમને ખાતરી આપી હતી કે, ઉપરથી પસાર થતી વીજ લાઈન બંધ છે. પરંતુ વાસ્તવિકતામાં લાઈન ચાલુ હતી જેની તેમને જાણ નહોતી. જેવો તેમનો ભત્રીજો અગાશી પર તેમના પિતાને પાણી આપવા માટે આવ્યો કે તરત જ તેને ચાલુ લાઈનનો જોરદાર કરંટ લાગ્યો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારે આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી પૂરતો ન્યાય મળે તેવી માંગણી કરી છે. વીજલાઈન બંધ હોવાનું કહી મજૂરોને કામ લગાડાયા હતા- હરદાસ ચૌહાણઘટના મામલે મૃતકના સગા હરદાસભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ઝીંઝરી-સરદારગઢ રોડ નજીક એક સોલાર પ્લાન્ટનું કામ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે. આગામી પાંચમા મહિના સુધીમાં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હોવાથી ડાયરેક્ટરે ઉતાવળમાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધું હતું. બાંધકામની બિલકુલ ઉપરથી હાઈવોલ્ટેજ લાઈન જતી હોવા છતાં મજૂરોને જોખમમાં મૂકવામાં આવ્યા હતા. મજૂરોને લાઈન બંધ હોવાનું ખોટું કહીને કામે લગાડાયા હતા. હરદાસભાઈએ આક્ષેપ કર્યો હતો કે ઝીંઝરી પંથકમાં આવા અનેક ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે અને આ મામલે કસૂરવારો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમારી પાસે સોલાર પ્લાન્ટની કોઈ સત્તાવાર અરજી આવી નથી- PGVCLના અધિકારીઆ સમગ્ર મામલે પીજીવીસીએલના અધિકારી માણાવદરિયાએ ચોંકાવનારી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં વિભાગની કોઈ ભૂમિકા નથી કારણ કે જે જગ્યાએ બાંધકામ થયું છે ત્યાં વીજ લાઈન હટાવવા માટેની અરજી ‘વશરામભાઈ’ ના નામે કરવામાં આવી હતી, જે વ્યક્તિ હકીકતમાં મૃતક છે. સોલાર પ્લાન્ટના નામની કોઈ સત્તાવાર અરજી વિભાગને મળી નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે જે સમયે અરજી કરાઈ ત્યારે ત્યાં કોઈ બાંધકામ નહોતું અને હાલનું બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદે છે. જો પ્લાન્ટના સુપરવાઈઝરે અગાઉથી જાણ કરી હોત તો લાઈન બંધ કરી શકાઈ હોત, પરંતુ ત્યાં કોઈ સુપરવાઈઝર પણ હાજર નહોતો. પ્લાન્ટના ડાયરેક્ટરે કહ્યું- 'મારી ભૂલના કારણે આ ઘટના બની છે'બીજી તરફ હાલ જે સોલાર પ્લાન્ટની સમગ્ર કામગીરી સંભાળી રહ્યા છે તે ઓનસ સોલાર પ્લાન્ટના ડાયરેક્ટર પ્રતાપ સિંધવે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની ભૂલનો એકરાર કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે, રાજકોટની માર્કલ સ્પિનિંગ કંપની વતી તેઓ આ કામગીરી સંભાળી રહ્યા છે અને 31 મે 2026 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હોવાથી ઉતાવળમાં આ કામ શરૂ કરાયું હતું. તેમણે કબૂલાત કરી હતી કે વીજ લાઈન પસાર થતી હોવા છતાં બાંધકામ કરવું એ તેમની મોટી ભૂલ છે અને આ સગીરના મોત માટે તેઓ પોતે જવાબદાર છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે નીતિ-નિયમો વિરુદ્ધ જઈને આ બાંધકામ કરવામાં આવ્યું હતું. ઝીંઝરી ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ હરસુખભાઈ ગરાડાએ આ બાબતે જણાવ્યું હતું કે, પંચાયત દ્વારા માત્ર અમુક પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા પરંતુ આ ચોક્કસ જગ્યા પર બાંધકામ કરવાની કોઈ લેખિત મંજૂરી આપવામાં આવી નહોતી.આ ઘટના બાદ જ્યારે ગામના તલાટી મંત્રી હેતલબેન રૂપાપરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે મીડિયાના ફોન ઉપાડવાનું ટાળ્યું હતું અને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવું જણાયું હતું. વહીવટી તંત્રનું આ મૌન અને ડાયરેક્ટરની સ્વીકારેલી ભૂલ વચ્ચે ગેડા પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે, જેની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.ત્યારે હાલ તો આ સમગ્ર મામલે જુનાગઢનું તંત્ર કઈ પ્રકારની કાર્યવાહી કરે છે અને લાગવગ શાહી વાપરી બચાવે છે તે જોવાનું રહ્યું.
ભાવનગર શહેરના નારી રોડ પર આવેલા કુંભારવાડા વિસ્તારમાં ઘરની સામે જ રહેતા એક શખ્સે ઘરમાં ઘૂસી પરિણીતાની છેડતી કરી, વિરોધ કરતા સાસુ અને વહુ બંનેને ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ પરિણીતાએ બોરતળાવ પોલીસ મથકે નોંધાવી હતી, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર કુંભારવાડા શેરી નં.10, લાલ કારખાના પાછળ રહેતા 20 વર્ષીય તુલસી અજયભાઈ વેગડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે તા.28/03/2026ના રોજ સવારે જ્યારે તેમના પતિ કામે ગયા હતા, ત્યારે સામે જ રહેતો વિપુલ ગદાભાઇ મકવાણા તેમના ઘરમાં ધસી આવ્યો હતો. વિપુલે તુલસીને 'તું મારી સાથે કેમ બોલતી નથી?' તેમ કહી સાડીનો છેડો પકડી અડપલાં કરવાનું શરૂ કર્યું હતું, તુલસીબેને બુમાબુમ કરતા બાજુના રૂમમાં રહેલા તેમના સાસુ દોડી આવ્યા હતા, સાસુએ વિપુલને રોકવાનો પ્રયાસ કરતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સાસુ-વહુ બંનેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો, ઉશ્કેરાયેલા શખ્સે સાસુને ધક્કો મારી નીચે પાડી દીધા હતા, હોબાળો થતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈ આરોપી વિપુલ ત્યાંથી નાસી છૂટ્યો હતો, તુલસીએ જણાવ્યું હતું કે, આરોપી વિપુલ અવારનવાર તેમની સામે જોઈ ખરાબ ઈશારા કરતો હતો, આ બાબતે અગાઉ પતિ અને સાસુએ તેને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે સમયે પણ તેણે ઝઘડો કર્યો હતો, હાલ આ મામલે તુલસીબેને વિપુલ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકે બી.અને.એસ ની કલમ 75(2), 115(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માધવપુર વરઘોડાની તૈયારી, દ્વારકામાં બેઠક યોજાઈ:તંત્ર અને આગેવાનોએ કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરી
31 માર્ચે દ્વારકા ખાતે યોજાનારા માધવપુર વરઘોડા અને રાજ્યસ્તરીય કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓ માટે એક મહત્વપૂર્ણ શહેરસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી તંત્ર અને શહેરના આગેવાનોએ કાર્યક્રમના સુચારુ સંકલન અને આયોજન અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં દ્વારકા મંદિરના પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, દ્વારકા મામલતદાર, ચીફ ઓફિસર અને શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ, પ્રાંત અધિકારી અમોલ આવટેનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આ બેઠકમાં મુખ્યત્વે યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન, સ્વચ્છતા અને કાર્યક્રમોના સુવ્યવસ્થિત આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આવનારા ભક્તોને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
નવસારી LCB એ ચીખલી તાલુકાના કણભઈ ગામે મોટી કાર્યવાહી કરી છે. પતરાના શેડમાં સંતાડેલો રૂ. 5.72 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ દરોડામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ સક્રિય બની છે. રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ઇન્ચાર્જ પી.આઈ. એસ.વી. આહિરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ અયાઝ મતરફ અને ગણેશને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, કણભઈ ગામના દેસાઈ ફળીયામાં રાજુ અમ્રત પટેલે સારવણીના પ્રિયંક ઉર્ફે લાલુ સાથે મળી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો રાજુના ઘરની બાજુમાં આવેલા પતરાના શેડમાં ઉતારી, ટેમ્પોમાં ભરીને કાર્ટિંગ કરવાની તૈયારી હતી. બાતમીના આધારે પોલીસે કણભઈ ગામે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ ત્રણ ઇસમો ભાગવા લાગ્યા હતા, જેમાંથી પોલીસે પીછો કરીને અમન શાંતિલાલ પટેલ (રહે. સારવણી) ને ઝડપી પાડ્યો હતો. જોકે, મુખ્ય આરોપીઓ પ્રિયંક ઉર્ફે લાલુ અને રાજુ પટેલ ભાગવામાં સફળ રહ્યા હતા અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોલીસને પતરાના શેડ અને ટેમ્પોમાંથી કુલ રૂ. 5,72,600/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં 1,320 નંગ વિદેશી દારૂની બોટલ અને બિયર (કિંમત ₹2,67,600/-), એક ટેમ્પો (GJ-21-T-6331, કિંમત રૂ. 3,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000/-) નો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે પકડાયેલ આરોપી અમન પટેલ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓ પ્રિયંક ઉર્ફે લાલુ અને રાજુ પટેલને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પાટણ જિલ્લાના વડલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને દેવોના શિખરો તથા મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી ચૈત્ર સુદ પૂનમ સુધીના ત્રણ દિવસીય આ મહોત્સવમાં 108 હોમાત્મક કુંડી શતચંડી મહાયજ્ઞ મુખ્ય આકર્ષણ રહેશે. મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા 2 એપ્રિલ, 2026 ના રોજ થશે. આ સંકુલમાં શ્રી સિકોતર માતાજી, બાબા રામદેવપીર, બ્રહ્માણી માતાજી અને અન્ય દેવગણોના નવીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મહોત્સવ દરમિયાન લોકડાયરો અને રાસગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. મહોત્સવનો પ્રારંભ 31 માર્ચ, 2026, મંગળવારના રોજ કળશયાત્રા અને શોભાયાત્રા સાથે થશે. પ્રથમ દિવસે સવારે 7:30 કલાકે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાનેથી વડલી ગામની પરિક્રમા કરી શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરશે. આ યાત્રામાં હાથી પર હવનના મુખ્ય પાટલાના યજમાનની સવારી નીકળશે. પ્રથમ દિવસે રાત્રે 8:30 કલાકે લોકડાયરો યોજાશે, જેમાં કલાકાર અનુપસિંહ વાઘેલા અને બળવંતભાઈ ચૌધરી પ્રસ્તુતિ આપશે. મહોત્સવના બીજા દિવસે 1 એપ્રિલ, 2026, બુધવારના રોજ યજ્ઞપૂજાના વિવિધ કાર્યો જેવા કે પ્રાતઃ પૂજન, પ્રાસાદ વાસ્તુ અને હોમ કર્મ કરવામાં આવશે. ત્રીજા અને મુખ્ય દિવસે 2 એપ્રિલ, 2026, ગુરુવારના રોજ બપોરે 12:39 કલાકે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. આ સમયે હેલિકોપ્ટર મારફતે મંદિર પર પુષ્પવર્ષાનું પણ આયોજન કરાયું છે, તેમ ભુવાજી વીરચંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. ત્યારબાદ બપોરે 3:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ અને સાંજે 4:00 કલાકે મહાઆરતીનું આયોજન છે. મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે રાત્રે 8:30 કલાકે માનસી કુમાવતના રાસગરબા અને રાત્રે 9:00 કલાકે 501 દીવાની મહાઆરતીના દર્શન યોજાશે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું આયોજન ભુવાજી વિરચંદભાઈ વસ્તારામ પ્રજાપતિ પરિવાર અને સમસ્ત ભક્તગણ દ્વારા કરવામાં આવ્યું છે. મહોત્સવમાં વિવિધ સંતો-મહંતોની ઉપસ્થિતિ રહેશે અને ભક્તો માટે ત્રણેય દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રિમંદિર યાત્રાધામમાં ગૌશાળા પણ આવેલી છે. ભુવાજીના સેવકે જણાવ્યું હતું કે, આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.
ગોધરા શહેરના સાતપુલ પાસે આવેલા કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં એક લાકડાના કારખાનામાં આગ ફાટી નીકળી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનામાં લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તીવ્રતાથી હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. જોકે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા વિવિધ સ્થળોએ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વડોદરા ખાતે મધ્ય ગુજરાત ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ તેમજ ખેડા જિલ્લાના પદ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મહત્તમ લોકો સુધી પહોંચવા આહવાનમધ્ય ગુજરાત ઝોનની મહત્વપૂર્ણ બેઠકમાં તમામ પદ અધિકારીઓને પ્રદેશ અધ્યક્ષે સંબોધ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ જવા માટે તમામ કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓના વિસ્તારમાં થયેલા વિકાસને મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટે કામે લાગી જવા સૂચના આપવામાં આવી હતી. ચૂંટણીમાં MP-MLAનું ચાલશે કે નહીં તેની ચર્ચાબેઠક શરૂ થાય તે પહેલા કાર્યકરોમાં એવો ગણગણાટ પણ જોવા મળ્યો હતો તે આ ચૂંટણીમાં કોણ રહેશે અને કોણ કપાશે? એક દિવસ અગાઉ ગાંધીનગર ખાતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આ ચૂંટણીઓમાં ધારાસભ્ય તેમજ સાંસદની ભલામણ નહીં ચલાવાય ત્યારે લોકોમાં પણ એવી ચર્ચા છે કે હવે લોબિંગ કરવું તો કોની પાસે કરાવવું? આ બેઠકમાં વર્તમાન હોદ્દેદારો તેમજ અપેક્ષિતો પણ જોવા મળ્યા હતા. વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચાની શક્યતાહાલમાં દેશમાં પેટ્રોલ ડીઝલ તેમજ ગેસની અછતની અફવાઓના કારણે લોકો આમેય પરેશાન છે, ત્યારે આગામી સમયમાં ચૂંટણીમાં લોકો સુધી પહોંચવા કેવી રણનીતિ અપનાવવી તે અંગેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠક માત્ર હોદ્દેદારોની વચ્ચે બંધ બારણે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડોદરાના પ્રભારી ગોરધન ઝડફીયા, મધ્ય ગુજરાત ઝોનના ઈનચાર્જ જશવંતસિંહ ભાભોર, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી, વડોદરાના સહ પ્રભારી મંત્રી કમલેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા મનપાનો માસ્ટર પ્લાન:80 મીટરનો ગ્રીન રિંગ રોડ અને રિવરફ્રન્ટ સાથે શહેરની કાયાપલટ થશે
વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની તર્જ પર હવે “વિકસિત અને પ્રગતીશીલ મહેસાણા” અગ્રેસર થવા જઈ રહ્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના સુચારુબદ્ધ આયોજન માટે આગામી 20 વર્ષના તબક્કાવાર વિકાસને આવરી લેતી 116.77 ચોરસ કિલોમીટર વિસ્તારની ‘મુસદારૂપ વિકાસ યોજના-2045’ DP પ્લાન પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યની નવનિર્મિત 9 મહાનગરપાલિકાઓ પૈકી મહેસાણા પ્રથમ એવી મનપા બની છે, જેણે આ પ્રકારનો ડેવલપમેન્ટ પ્લાન સૌથી ટૂંકા ગાળામાં જાહેર કર્યો છે. 80 મીટરનો ગ્રીન રિંગ રોડ અને હાઈરાઈઝ બિલ્ડિંગોઆ પ્લાનની મુખ્ય વિશેષતા 80 મીટરનો રિંગ રોડ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં શિવાલાથી ફતેપુરા સુધીના હયાત 60 મીટરના બાયપાસ રોડને હવે 80 મીટર પહોળો કરી પૂર્વ વિસ્તારના ગામોને સાંકળી ‘ગ્રીન રિંગ રોડ’ તરીકે વિકસાવવામાં આવશે. આ રિંગ રોડની બંને બાજુ 250 મીટરના પટ્ટામાં અન્ય વિસ્તારો કરતા વધુ FSI આપવામાં આવશે, જેના કારણે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોની માફક મહેસાણામાં પણ ઊંચી ઇમારતો અને સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ આકાર લઈ શકશે. ખારી નદી પર રિવરફ્રન્ટ અને પર્યાવરણની જાળવણીશહેરીજનો માટે મનોરંજનના ભાગરૂપે ખારી નદીના કિનારે અમદાવાદની તર્જ પર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ રિક્રિએશનલ ઝોનમાં સિટી પાર્ક, ગેમ ઝોન અને બાગબગીચા જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. પર્યાવરણની જાળવણી માટે બ્લુ-ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકીને હયાત તળાવોની આસપાસ પણ રિક્રિએશનલ ઝોનનું આયોજન કરાયું છે. ઔદ્યોગિક વિકાસ અને નવી બાંધકામ મંજૂરીઓમહેસાણા નજીકથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ અને અમદાવાદ-થરાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે જેવી યોજનાઓને ધ્યાને રાખીને નવા પ્લાનમાં લોજિસ્ટિક અને ઔદ્યોગિક ઝોન સૂચિત કરવામાં આવ્યા છે, જે શહેરના આર્થિક વિકાસને વેગ આપશે. નોંધનીય છે કે, મનપા બન્યા બાદ નવા વિસ્તારોમાં અટકેલી બાંધકામ પરવાનગીઓ હવે શરતોને આધીન તુરંત શરૂ થશે, જેનાથી ડેવલપર્સ અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. આ વિકાસ યોજના અંગે મહેસાણાના શહેરીજનો આગામી 2 મહિના સુધી પોતાના વાંધા-સૂચનો રજૂ કરી શકશે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તેને અંતિમ મંજૂરી આપવામાં આવશે.
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં એક પ્લોટની માલિકી હક્કને લઈને ચાલી રહેલો વિવાદ લોહિયાળ જંગમાં ફેરવાયો હતો. નવાઈની વાત એ છે કે, જ્યારે પોલીસ કાફલો સ્થળ પર હાજર હતો, ત્યારે જ બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. જેમાં ચાર જેટલા લોકોને ઇજા પહોંચી છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે, જોકે પોલીસે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. એક પ્લોટના બે દાવેદારો થતાં માલિકીનો વિવાદખોડિયાર નગરમાં આવેલા એક પ્લોટ પર લાંબા સમયથી કછાવર અને ચાવડા પરિવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ચાવડા પરિવારનો પક્ષ એવો છે કે તેમનો દાવો છે કે આ પ્લોટ ગોકુલબેન નામના સભ્યને કરિયાવરમાં ભેટ તરીકે મળ્યો હતો. જ્યારે કછાવર પરિવારનો પક્ષ એવો છે કે કછાવર પરિવારે દાવો કર્યો છે કે આ પ્લોટ તેમને તેમના મોટા બાપાએ આપ્યો હતો અને તેના પર તેમનો જ હક્ક છે. પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે જ મામલો બિચક્યોમિલકત વિવાદને લઈને પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે સત્યતા તપાસવા માટે ઉત્રાણ પોલીસની ટીમ ખોડિયાર નગર પહોંચી હતી. પોલીસની હાજરીમાં જ બંને પક્ષના લોકો એકઠા થઈ ગયા હતા અને બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે લાકડીઓ અને પથ્થરો ઉછળ્યા હતા. જેમાં ચાર જેટલાને ઇજા પહોંચી છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો ઘરમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા છે. પોલીસે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાઘટના બાદ ફરિયાદી પક્ષે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસની હાજરી હોવા છતાં ગુંડાતત્વોએ હુમલો કર્યો અને પોલીસે તેમને રોક્યા નહીં. આ મામલે ઉત્રાણ પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમે પ્લોટના વિવાદની અરજીના આધારે સ્થળ પર તપાસ કરવા ગયા હતા. બંને પક્ષો અચાનક ઉશ્કેરાઈને સામસામે આવી ગયા હતા. પોલીસ પર લાગેલા આરોપો તદ્દન ખોટા છે. અમે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીહાલમાં પોલીસે મારામારી અને તોડફોડના દૃશ્યોના આધારે સામસામે ગુનો દાખલ કર્યો છે. વાઇરલ વીડિયોમાં દેખાતા ઈસમોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉત્રાણ પોલીસે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ અંદાજે રૂ. 626.68 કરોડના વિવિધ 10 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડા દ્વારા આયોજિત આ પ્રોજેક્ટ્સ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને જનસુખાકારીમાં ધરખમ ફેરફારો લાવશે. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે શહેરના શહેરી વિકાસના ઇતિહાસમાં એક નવું સુવર્ણ સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. 10 જેટલા મહત્વાકાંક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોના સર્વાંગી ઉત્કર્ષ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 10 જેટલા મહત્વાકાંક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોથી માત્ર શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નહીં થાય, પરંતુ નાગરિકોની સુખાકારીમાં પણ મોટો ઉછાળો આવશે. વાસણા-હડમતિયા TP-9 વિસ્તારમાં આવાસનું લોકાર્પણવડાપ્રધાનના હસ્તે ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે આવાસની મોટી ભેટ આપવામાં આવશે. વાસણા-હડમતિયા TP-9 વિસ્તારમાં અંદાજે 246 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કુલ 1976 EWS-II આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાના ઘરનું સપનું સાકાર કરશે. આ ઉપરાંત, શહેરની સ્વચ્છતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પેથાપુર ખાતે 15 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ થશે જે જળ શુદ્ધિકરણની પ્રક્રિયાને વેગ આપશે. કુડાસણ, રાયસણ, રાંદેસણ અને સરગાસણમાં નવા રસ્તા બનાવાશેગાંધીનગરના વિસ્તરતા જતા વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાન અનેક નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. કુડાસણ, રાયસણ, રાંદેસણ અને સરગાસણ જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં 72.91 કરોડના ખર્ચે નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. ટ્રાફિક અને પરિવહન સુવિધા સુધારવા માટે સેક્ટર-11 ખાતે બિઝનેસ કોરિડોર રોડ ડેવલપમેન્ટ અને સુશોભનનું કાર્ય પણ હાથ ધરાશે, જે શહેરના આર્થિક હૃદય સમાન વિસ્તારને નવી ઓળખ આપશે. સ્ટ્રોમ વોટર લાઈનનું પણ ખાતમુહૂર્તચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિકાલ માટે કોબા, રાયસણ અને રાંદેસણ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું આયોજન છે. આ સાથે જ રાંધેજા ખાતે ચાર તળાવોને જોડવાની કડી અને સ્ટ્રોમ વોટર લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે જળ સંચયની દિશામાં પણ મહત્વનું પગલું સાબિત થશે. ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે મોટા ચિલોડામાં નવું નેટવર્ક અને STP તેમજ TP-29થી અડાલજ સુધી ટ્રંક મેઈન લાઈન નાખવાના કામો શરૂ કરવામાં આવશે. TP-6માં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ કરાશેશહેરમાં રોજગારી માટે આવતી મહિલાઓને સુરક્ષિત અને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર TP-6માં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. 25.61 કરોડના ખર્ચે આકાર પામનારી આ હોસ્ટેલ કામકાજી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયોગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ તમામ પ્રકલ્પોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની આ મુલાકાત અને વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરને સ્માર્ટ સિટી અને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.
મહેસાણા બાયપાસ હાઈવે પર ગત રાતે એક બેફામ બનેલા ટ્રકચાલકે ખતરનાક રીતે ટ્રક હંકારી અર્ટિગા કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આટલેથી ન અટકતા ટ્રકચાલકે કારને રોડ પર ઢસડી હતી. પોલીસ પીછો કરી રહી હોવા છતાં ડિવાઈડર કૂદાવી રોન્ગ સાઈડમાં ટ્રક ભગાવી હતી. અંતે પોલીસની ઘેરાબંધી જોઈ ચાલક ટ્રક મૂકીને ખેતરોમાં નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હોર્ન વગાડતા ટ્રક કાર પર ચડાવવાનો પ્રયાસ કર્યોહારીજમાં રહેતા અને અંબિકા સેલ્સમાં ખાનગી નોકરી કરતા પરેશ હસમુખભાઈ બાબુલાલ ગત 27 માર્ચ, 2026ના રોજ પોતાના શેઠની અર્ટિગા ગાડી GJ-18-BQ-5281 લઈને અમદાવાદ કામ અર્થે ગયા હતા. રાત્રે દસેક વાગ્યાના સુમારે તેઓ મહેસાણા બાયપાસથી ડી-માર્ટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આગળ જતી ટ્રક GJ-08-AW-8085ને ઓવરટેક કરવા માટે તેમણે હોર્ન વગાડ્યો હતો. આ બાબતની અદાવત રાખી ટ્રકચાલકે અચાનક ટ્રક અર્ટિગા પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. કારને ટક્કર મારી ઢસડીફરિયાદીએ ગાડી ઉભી રાખવા ઈશારો કરતા ઉશ્કેરાયેલા ટ્રકચાલકે અર્ટિગાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને ગાડીને રોડ પર ઢસડી હતી. ભયભીત થયેલા પરેશભાઈએ તુરંત પોલીસને જાણ કરી ટ્રકનો પીછો શરૂ કર્યો હતો. ટ્રકચાલક ધીણોજ, મગુના થઈ રણેલા તરફ ભાગ્યો હતો. આ દરમિયાન તેણે ચાલુ ટ્રકે ફરિયાદીને લોખંડનો સળિયો મારવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. અંધારાનો લાભ લઈ ચાલક ટ્રક મૂકી ફરારપોલીસે રણેલા નજીક બે ડમ્પર આડા મૂકી નાકાબંધી કરી હતી, પરંતુ ટ્રકચાલકે જોખમી રીતે ડિવાઈડર કૂદાવી ટ્રકને હાઈવે પર રોન્ગ સાઈડમાં દોડાવી હતી. અંતે પોલીસ અને ફરિયાદીની ગાડી સતત પાછળ હોવાથી રણેલા-મોઢેરા રોડ પર ટ્રક અધવચ્ચે મૂકી અંધારાનો લાભ લઈ ચાલક ખેતરોમાં ભાગી ગયો હતો. આ અકસ્માતમાં અર્ટિગા ગાડીના પાછળના ભાગે અંદાજે રૂ 2.50 લાખનું નુકસાન થયું છે. જોકે ફરિયાદીનો આબાદ બચાવ થયો છે. મહેસાણા તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોડીનાર-ઉના બાયપાસ પર 105 કિલો શંકાસ્પદ ઘી જપ્ત:ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-ઉના બાયપાસ પરથી પોલીસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. નિયમિત ચેકિંગ દરમિયાન બોલેરો વાહનમાંથી આશરે 105 કિલો ઘી મળી આવ્યું હતું. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક બોલેરો વાહનને શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યું હતું. વાહનની તપાસ કરતા તેમાંથી 7 ડબ્બામાં ભરેલું અંદાજે 105 કિલો ઘી મળી આવ્યું હતું. આ ઘી ઉનાની શ્રીજી કરિયાણા દુકાનમાંથી માઢવડ તરફ લઈ જવાઈ રહ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘીનો જથ્થો કબજે કરી કોડીનાર પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાની જાણ ફૂડ વિભાગને કરવામાં આવતા, તેમના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘીના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘી શંકાસ્પદ જણાતા, તેમાં ભેળસેળ કે નકલી ઘી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો લેબોરેટરી રિપોર્ટમાં ઘી અપ્રમાણભૂત સાબિત થશે, તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે ચિંતા વ્યાપી છે. લોકો દ્વારા તંત્ર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. હાલ આ મામલે શંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગના લેબ રિપોર્ટ બાદ જ ઘીની ગુણવત્તા અંગેનું અંતિમ સત્ય સામે આવશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં રાજકોટમાં ‘હેતનો હોંકારો’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરાયુ.... આ પ્રસંગે દાદાએ કહ્યુ કે દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની કોઇને ચિંતા નથીઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM સાથે બેઠક બાદ સરકારની હાઈલેવલ મીટિંગ વડાપ્રધાન સાથે ગઈકાલે બેઠક બાદ આજે મુખ્યમંત્રીએ હાઈ લેવલ બેઠક બોલાવી... નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. સાથે અફવા ફેલાવવા વાળાઓ પર કડક કાર્યવાહી થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PMના સાણંદ પ્રવાસ પહેલા કોંગ્રેસના આક્ષેપ PMના સાણંદ પ્રવાસ પહેલા કોંગ્રેસે એજ્યુકેશન કમિશનરને સવાલ કરતા કહ્યુ કે સાહેબ વ્હાલા થવા માટે વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવે છે, પરંતુ ખાલી પડેલી જગ્યા કેમ ભરવામાં આવતી નથી?આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રવેશ શરૂ થાય તે પહેલા વાલીઓને DEOની ચેતવણી RTE હેઠળ પ્રવેશ શરૂ થાય તે પહેલા વાલીઓને DEOએ વાલીઓને ચેતવણી આપતા કહ્યુ કે આવક ઓછી બતાવી બાળકને પ્રવેશ અપાવશે તો તમારી સામે ફોજદારી ગુનો દાખલ થશે અને પ્રવેશ પણ રદ્દ થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરોમાતાથી દીકરી ટાંકીમાં પડતા ઢાંકણું બંધ કર્યુ અમાદાવાદના અમરઇ વાડીમાં માતાના હાથમાંથી છટકી દીકરી પાણીની ટાંકીમાં પડી જતા માતાએ તેને બચાવી નહી અને ભૂલ ઢાંકવા ઢાંકણુ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ.. પિતાએ માતા વિરુધ ફરીયાદ નોંધાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જમીન માટે ભાઈઓએ બહેનની હત્યા કરી ઉનાના નેસડા ગામે જમીન માટે પિતરાઇ ભાઈઓએ બહેનની હત્યા કરી... અગાઉ બહેનને પ્રેમી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી અડધી જમીન પચાવી પાડી... ગુનો છપાવવા હાર્ટએટેકનું તરકટ રચી લાશ ટ્રેક્ટરમાં લાશ નાખી અડધો કલાકમાં જ અંતિમ સંસ્કાર પતાવ્યા .... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના રાજકોટની સાધના સોસાયટીમાં એક વ્યક્તિ આગ ઠારવાનો પ્રયાસ કરી રહ્યો હતો ને બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો... સોસાયટીના પાર્કિંગમાં 40 ગેસ સિલિન્ડર, ડીઝલ ભરેલા કેરબા અને ગેસ રિફિલિંગની મોટર કબજે કરાયા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતિએ જ પત્ની પર એસિડ એટેક કરાવ્યો અમદાવાદના નરોડામાં યુવતી પર થયેલ એસિડ એટેકમાં પતિનો હાથ હોવાનું ખુલ્યુ... ભોગ બનનાર આરોપીને મર્દાનગી બાબતે મેણાં-ટોણાં મારતી હતી જેથી આરોપીએ સબક શીખવાડવા એસિડ એટેક કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોરબંદરમાં બે બાળકોના ડૂબવાથી મોત પોરબંદરમાં શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નાહ્વા ગયેલા બે કિશોરોના ડૂબી જવાથી મોત થયા,,, તળાવની ઊંડાઈનો અંદાજ ન હોવાથી બંને ડૂબી ગયા.. બે બાળકોના મોતથી ગામમાં માતમ છવાયો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે માવઠાના એંધાણ! કાળઝાળ ગરમી સાથે આગામી દિવસોમાં માવઠાના એંધાણ છે ... 29 અને 30 માર્ચે યલ્લો એલર્ટ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પંચમહાલ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO)નું પદ છેલ્લા નવ મહિનાથી ખાલી છે. આ 'ઇન્ચાર્જ રાજ'માંથી મુક્તિ અપાવવા અને કાયમી અધિકારીની નિમણૂક કરવા માટે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વિધાનસભામાં રજૂઆત કરી છે, જ્યારે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ આ મામલે કાયમી અધિકારીની નિમણૂકની માંગ કરવામાં આવી રહી છે. જિલ્લામાં મુખ્ય વહીવટી વડાની ગેરહાજરીને કારણે વિકાસ કાર્યો પર અસર પડી રહી હોવાનું મનાય છે. પંચમહાલ જિલ્લામાં 65 ટકા મહેકમનો અભાવ હોવાથી DDOની ખાલી જગ્યાની અસર વધુ વર્તાઈ રહી છે. હાલમાં, પંચમહાલ જિલ્લામાં કાયમી DDO ન હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક DDO તરીકેનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે. એક જ અધિકારી પાસે બે મહત્વની જવાબદારીઓ હોવાને કારણે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અજીત ભાટીએ આ મામલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ પંચમહાલ જેવા મહત્વના જિલ્લામાં નવ મહિનાથી કાયમી વહીવટી વડાની નિમણૂક કરી શકાતી નથી, જે ગંભીર બાબત છે. તેમણે તાત્કાલિક કાયમી DDOની નિમણૂક કરવા અને વહીવટી અંધાધૂંધી દૂર કરવાની માંગ કરી છે. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીની ઘણા સમયથી ખાલી પડેલી જગ્યા પર કાયમી નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત મારા દ્વારા કરવામાં આવી છે. આ અંગે RAC પંચમહાલના કે.કે. પટેલે સ્પષ્ટતા કરી હતી કે, સમકક્ષ અધિકારીની નિમણૂક માટે જિલ્લા કક્ષાએથી GAD કે પંચાયત વિભાગને કોઈ લેખિત જાણ કરવામાં આવતી નથી. DDOની નિમણૂક સીધી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વહીવટી તંત્રના પાયાના ગણાતા વર્ગ-3ના મહેકમમાં પણ મોટી ખાલી જગ્યાઓ છે. જુનિયર ક્લાર્કની 133 જગ્યાઓ સામે હાલ માત્ર 40 જગ્યાઓ ભરેલી છે, જ્યારે 93 જગ્યાઓ ખાલી પડી છે. હાલ 40 હંગામી કર્મચારીઓ 133 કર્મચારીઓનું કામ સંભાળી રહ્યા છે.
સોમનાથમાં પ્રવીણ લહેરીનો 82મો જન્મદિવસ ઉજવાયો:પૂર્વ ચીફ સેક્રેટરીએ વર્ચ્યુઅલી મહાપૂજનમાં ભાગ લીધો
આજે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પ્રવીણ લહેરીનો 82મો જન્મદિવસ ધાર્મિક વિધિપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પવિત્ર પ્રસંગે સોમનાથ મહાદેવના ચરણોમાં વિશેષ મહાપૂજન અને આયુષ્ય મંત્રજાપનું આયોજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને પૂજારીગણના સંસ્કૃત મંત્રોથી મંદિર પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. નોંધનીય છે કે પ્રવીણ લહેરીએ તેમના ધર્મપત્ની સાથે આધુનિક ટેકનોલોજીના સહારે આ પૂજામાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળી હતી. ટ્રસ્ટના અધિકારીઓ અને સેવકમંડળે સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત રીતે પાર પાડ્યું હતું. સાંજના સમયે ભગવાન સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે દીપમાળા આરતી યોજાશે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવારે પ્રવીણભાઈ લહેરીના સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુષ્ય જીવન માટે પ્રાર્થના કરી હતી.
ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓને અનુસરીને પોરબંદર શહેરમાં પાયાની સુવિધાઓ અને પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રોજેક્ટો અમલમાં મુકાઈ રહ્યા છે, જેમાં હવે ચોપાટી પુનઃવિકાસ પ્રોજેક્ટનો ઉમેરો થયો છે. અસ્માવતી ઘાટથી રતનપુર સુધીનો વિકાસતંત્ર દ્વારા અસ્માવતી ઘાટથી રતનપુર સુધીના દરિયાકિનારાને વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ યોજનાના ભાગરૂપે ચોપાટી અને દરિયાકાંઠાના વિસ્તારને વધુ આકર્ષક બનાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5.24 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાએ આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓસીયનિક હોટેલની પાછળના વિસ્તારમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં વિવિધ સવલતોનો સમાવેશ થાય છે: યોગ કેન્દ્ર: નાગરિકોના સ્વાસ્થ્ય માટે વિશેષ જગ્યા. ટ્રાફિક એજ્યુકેશન પાર્ક: બાળકોને મનોરંજન સાથે ટ્રાફિકના નિયમોનું શિક્ષણ મળશે. ચિલ્ડ્રન પ્લે એરિયા: બાળકો માટે આધુનિક રમત-ગમતના સાધનો. ઓપન જિમ: જાહેર જનતા માટે ખુલ્લી વ્યાયામશાળા. ક્રિએટિવ પેવેલિયન: આધુનિક સ્થાપત્ય શૈલી ધરાવતું બેઠક વ્યવસ્થાનું સ્થળ. પરિવારમિત્ર અને સુરક્ષિત પર્યટન સ્થળઆ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ચોપાટી વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને 'ફેમિલી ફ્રેન્ડલી' જાહેર સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. દરિયાકાંઠાના કુદરતી સૌંદર્ય સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમન્વય થવાથી સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે પોરબંદર એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વિકાસકાર્ય પૂર્ણ થતાની સાથે જ શહેરના પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર ઉછાળો આવવાની અને નાગરિકોના જીવનધોરણમાં સુધારો થવાની આશા રાખવામાં આવી રહી છે.
મહેસાણા જિલ્લાના રણેલા ગામના યુવક સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી કરી લીધેલી આત્મહત્યાના મામલે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક રાઘુભા ઉર્ફે શક્તિ મંગાજી સોલંકી દ્વારા મુકવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે. વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું હતુંમૃતક સંદીપ પટેલે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધાકધમકીથી ત્રસ્ત થઈને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ મામલે પોલીસ તપાસ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રાઘુભા સોલંકીએ જેલમુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આ સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓમાં જો આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે અને કેસની તપાસ પર પણ તેની માઠી અસર પડી શકે છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા કોર્ટે જામીન અરજી ફગાવીબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, નામદાર સેશન્સ કોર્ટના જજ એમ. એફ. ખત્રીએ સરકારી વકીલની રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા કોર્ટે આરોપી રાઘુભા ઉર્ફે શક્તિ મંગાજી સોલંકીની જામીન અરજી ફગાવી દેવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિત પરિવારને ન્યાયની આશા બંધાઈ છે.
સુરતમાં ફરી એકવાર તબીબી સારવાર પર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 9 મહિનાના માસૂમનું સામાન્ય તાવની સારવાર દરમિયાન મોત નિપજતા ખળભળાટ મચી ગયો હતો. મૃતક બાળકના પરિવારજનોએ સ્થાનિક ખાનગી ક્લિનિકના ડોક્ટર પર ગંભીર બેદરકારી અને રિપોર્ટ વગર જ હેવી ડોઝ આપી સારવાર કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ કરી છે. બાળકને તાવ આવતા ખાનગી ક્લિનિકમાં લઈ ગયામળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં ગણેશનગરમાં રહેતા રાજા વિકાસ રાજપૂત (ઉ.વ. 9 મહિના) નામના બાળકને છેલ્લા એકાદ દિવસથી સામાન્ય તાવ આવતો હતો. બાળકની તબિયત સામાન્ય જણાતી હોવાથી પરિવારજનો તેને નજીકમાં આવેલા એક ખાનગી ક્લિનિકમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ પરિવારને ખબર નહોતી કે, આ તેમની રાજા સાથેની છેલ્લી મુલાકાત સાબિત થશે. તબિયત બગડતા ડોક્ટરે દવા-ઇન્જેક્શનના ડોઝ આપ્યાસામાન્ય રીતે કોઈપણ બાળકને તાવ આવે ત્યારે તેનું કારણ જાણવા બેઝિક રિપોર્ટ જરૂરી હોય છે, પરંતુ ડોક્ટરે સીધી જ દવાઓ અને ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે, સારવાર દરમિયાન બાળકની હાલત સુધરવાને બદલે વધુ લથડવા લાગી હતી. તેમ છતાં ડોક્ટરે તેને વધુ દવાઓ અને ઇન્જેક્શનના ડોઝ આપ્યા હતા. જેના કારણે બાળકની સ્થિતિ વધુ નાજુક બની હતી અને થોડીવારમાં જ બાળકના શરીરમાં કોઈ હલચલ ન જણાતા પરિવાર ગભરાઈ ગયો હતો અને બાળકે દમ તોડી દીધો. બાળકનું મોત થતા પરિવારજનો ક્લિનિક પર એકઠા થયાબાળકના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા ગણેશનગરના રહીશો અને પરિવારના સંબંધીઓ ક્લિનિક પર એક્ઠા થયા હતા. એક તરફ માસૂમ પુત્રને ગુમાવનાર માતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું તો બીજી તરફ ડોક્ટરની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઇ તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયોપોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે મૃતક બાળક રાજાના મૃતદેહનો કબજો સંભાળ્યો હતો અને પરિવારને આશ્વાસન આપ્યું હતું કે કાયદેસરની તપાસ કરવામાં આવશે. પાંડેસરા પોલીસે બાળકના મૃતદેહને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દવા પીવડાવ્યા બાદ બાળકે હાથ-પગ પછાડવાનું શરૂ કર્યુંમૃતક બાળકના પિતા વિકાસકુમારે જણાવ્યું હતું કે, તબિયત ખરાહ હતી, હલકી-ફૂલકી ખરાબ હતી. એકવાર દવા આપી તો ઠીક હતું. થોડો તાવ ઉતરી ગયો હતો. પછી આજે દવા પીવડાવવા ગયા જેથી તેણે દવા પીવડાવી અને રૂમમાં ગયા એટલી વારમાં તો બાળકે હાથ-પગ પછાડવાનું ચાલુ કરી દીધું અને થોડીવારમાં જ દમ તોડી દીધો. અમને ન્યાય જોઈએ છે. ડોક્ટરને સજા થવી જોઇએ. રિપોર્ટ કર્યા વગર જ સારવાર શરૂ કરી: પરિવારનો આક્ષેપબાળકના પિતા અને અન્ય સભ્યોએ હોસ્પિટલ બહાર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ બાળકને લઈને ક્લિનિક પહોંચ્યા, ત્યારે ડોક્ટરે બાળકની ગંભીરતા સમજ્યા વગર કોઈપણ પ્રકારના લોહીના રિપોર્ટ કે નિદાન કર્યા વગર જ સારવાર શરૂ કરી દીધી હતી.
ચીખલી હાઈવે પર 4 ટ્રક એકબીજા સાથે અથડાઈ:ડાયવર્ઝનને કારણે અકસ્માત, ટ્રાફિક જામ; કોઈ જાનહાનિ નહીં
નેશનલ હાઈવે-48 પર ચીખલી નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર આલીપોર ઓવરબ્રિજ નીચે ચાલતા કામકાજને કારણે અપાયેલા ડાયવર્ઝન પાસે ચાર ટ્રકો એકબીજા સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, ચીખલીના આલીપોર ઓવરબ્રિજ નીચે હાલ પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ડાયવર્ઝનને પગલે નેશનલ હાઈવેની વચ્ચે આવેલા કટ પાસેથી જ્યારે ભારે વાહનો રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતી ચાર ટ્રકો ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ચીખલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો.
MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં એન્ટરન્સ પરીક્ષા રદ કરવાની માગ સાથે પહોંચેલા NSUIના કાર્યકરો અને ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહ વચ્ચે આજે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પ્રવેશ પ્રક્રિયામાં ફેરફારની માગ લઈને NSUIના કાર્યકરો ડીન પાસે રજૂઆત કરવા ગયા હતા. રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં કેમ્પસમાં તંગદિલીનું વાતાવરણ છવાઈ ગયું હતું. એન્ટ્રન્સ એક્ઝામનો NSUI સંગઠન દ્વારા આજે વિરોધઆ અંગે NSUIના સુઝાન લાડમેને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રન્સ એક્ઝામનો NSUI સંગઠન દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ જે પ્રાઈવેટ કોચિંગ ક્લાસ કે પ્રાઈવેટ યુનિવર્સિટીના દલાલો બની ગયા છે એવું અમને લાગી રહ્યું છે. કારણ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી કોઈપણ એન્ટ્રન્સ એક્ઝામ પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવતી નથી. કોમર્સ ફેકલ્ટીના ડીનનો વ્યવહાર યોગ્ય ન હોવાનું જણાવ્યુંવધુમાં કહ્યું કે, અમે એમને મોટો પ્રશ્ન એ કર્યો કે 10મા-12માની બોર્ડની એક્ઝામ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એ માન્ય નથી? એનું રિઝલ્ટ માન્ય નથી? તો તમારી દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ શું કામ લેવામાં આવી? આજે શાંતિપૂર્વક 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે આ એન્ટ્રન્સને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, પરંતુ કોમર્સ ફેકલ્ટીના ડીનનો વ્યવહાર યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. NSUI સંગઠનની હેડ ઓફિસ પર રજૂઆત સાથે ઉગ્ર વિરોધની ચિમકીઆજે જે પણ દુર્વ્યવહાર મારી જોડે કરવામાં આવ્યો એનો જવાબ સોમવારના દિવસે NSUI સંગઠન યુનિવર્સિટીના VC પાસેથી માંગશે અને તાત્કાલિક ધોરણે પ્રજ્ઞેશ શાહ જેવા હિટલર વ્યક્તિને કોમર્સ ફેકલ્ટીમાંથી ડીન પદેથી રદ કરવામાં આવે એવી માગ લઈને NSUI સંગઠન હેડ ઓફિસ પર રજૂઆત કરશે અને ઉગ્ર વિરોધ પણ કરશે. આ મામલે હું પોલીસ કમ્પ્લેન કરીશ: ડીનઆ અંગે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, આ મામલે હું પોલીસ કમ્પ્લેન કરીશ. મેં તેઓ સાથે શાંતિથી વાત કરવાની વાત કરી હતી, પરંતુ તેઓ મારી ઓફિસમાં આવી નારેબાજી કરી હતી અને કોઈ પણ વાત સાંભળી ન હતી. એન્ટ્રન્સ બાબતે તેઓ સાથે કોઈ ચર્ચા થઈ નથી.
સાંતલપુરના હમીરપુરા ગામે યોજાયેલ યશોત્સવ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયાના રવાડે ચઢી ટોળાનો ભાગ બનવું મૂર્ખતા છે. શંકર ચૌધરીએ ઉણ ગામની ઘટનાનો આડકતરીરીતે ઉલ્લેખ કરી યુવાનોને હિંસક ટોળાશાહીથી દૂર રહેવા ટકોર કરી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામે યશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી વર્તમાન સામાજિક પરિસ્થિતિ અંગે ગંભીર નિવેદન આપ્યું હતું. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, જે લોકોએ સમાજ માટે ક્યારેય કોઈ બલિદાન આપ્યા નથી, તેવા લોકો સોશિયલ મીડિયામાં માત્ર એક વીડિયો બનાવીને પોસ્ટ કરે અને તેની પાછળ લોકોના ટોળા એકઠા થાય તે મૂર્ખતા છે. કોઈ એક વ્યક્તિ દ્વારા પ્લાનિંગ કરવામાં આવે અને અન્ય લોકો જોયા-જાણ્યા વગર તે ટોળાનો ભાગ બને તેને તેમણે અણસમજ ગણાવી હતી. વધુમાં તેમણે યુવાનોને જણાવ્યું હતું કે, યુવાનો સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય, ત્યા કોઈ એક વ્યક્તિ પ્લાનિંગ કરે અને વીડિયો સોશિયલ મીડિયામાં મુકે ત્યારે અભ્યાસ કરતો યુવકનું ધ્યાન ત્યા ભટકી જાય અને તે ટોળાનો ભાગ બની જાય. જે બાદ તેઓને ખબર જ નથી હોતી કે ક્યા જાય છે? કેમ જાય છે. બસ ટોળું જાય છે એટલે જાવા લાગે છે. આવેશમાં આવીને ટોળાનો ભાગ બનવું ન જોઈએ, કારણ કે જો આ પ્રક્રિયામાં એક પણ પોલીસ કેસ થાય તો સરકારી પરીક્ષા કે કારકિર્દીની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય કાયમ માટે બગડી શકે છે. જેથી સમજદારી દાખવીને કામ કરવું જરૂરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, સમજણ વગર, કોઈ વાતની ખબર વગર પણ ટોળાનો ભાગ બની જવું એને હું મૂર્ખતા સિવાય કંઈ સમજતો નથી. શૂરવીરતા સિંહ જેવી હોય, એ નિર્ણય કરે એની મક્કમતા હોય, અને સંઘર્ષ કર્યા વિના કોઈ પરિણામ મળતું નથી. ટોળાનો ભાગ બની કોઈનું નુકસાન કરવું એને શૂરવીરતા ન કહી શકાય, એ તો કાયરતા હોય છે. આજની નવી પેઢીને મારો આટલો સંદેશો છે. આ સંદેશો તમને આવનારા સમયમાં સમજાશે. ઉણ ગામની ઘટના શું છે?ઉલ્લેખનીય છે કે, ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ રહેલાં ઉણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. ત્યારે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માંગ સાથે મહાસંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનોએ દીકરીને પરત લાવવાની જવાબદારી પણ લીધી હતી. જોકે, કેટલાક લોકોના ઉશ્કેરણીભર્યા નિવેદનોને લઇને યુવાનોમાં આક્રોશ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં ટોળું ઓગડના ઉણ ગામ પહોંચ્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કર્યો હતો. કેટલાય ઘરોમાં પણ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. આ ઘટનામાં 4 પોલીસકર્મી સહિત 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સીમર ગામે આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખેતર જઈ રહેલા એક 70 વર્ષીય વૃદ્ધનું ટ્રેક્ટર પલટી જતાં તેની નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર, સીમર ગામના વતની ઠેબા પૂંજા (ઉંમર 70) પોતાનું ટ્રેક્ટર લઈને ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક કોઈ અગમ્ય કારણોસર તેમણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. નિયંત્રણ બહાર ગયેલું ટ્રેક્ટર માર્ગ પર જ પલટી મારી ગયું હતું. ગંભીર ઈજાઓ અને મૃત્યુટ્રેક્ટર પલટી જતાં ચાલક વૃદ્ધ ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ અને બોડી નીચે દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડ્યો હતો. પીએમ માટે મૃતદેહ ખસેડાયોઘટનાની જાણ થતાં જ બગવદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
નાસતો ફરતો આરોપી ઝડપાયો:2 વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો
ભાવનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશને મોટી સફળતા મળી છે ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના 'નાસતા ફરતા સ્ક્વોડ' દ્વારા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક શખ્સને છેક રાજસ્થાનથી દબોચી લેવામાં આવ્યો છે, ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક સૂચના આપવામાં આવી હતી, આ સૂચનાના અમલીકરણ માટે મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એક ખાસ 'નાસતા ફરતા સ્ક્વોડ'ની રચના કરવામાં આવી હતી, તપાસ દરમિયાન પોલીસ કર્મચારીઓ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે, વરતેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો આરોપી પોતાના વતન રાજસ્થાનમાં હાજર છે, ઝડપાયેલ આરોપીની સોહનસિંગ મોતીસિંગ ઉં.મ.32, રહે. ખુમાખેડા, તા.દેવગઢ, જિ.રાજસમંદ (રાજસ્થાન) પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરી રાજસ્થાન પહોંચી આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો હતો, ત્યારબાદ તેને ભાવનગર લાવી વરતેજ પોલીસ ને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આર્થિક ખેંચતાણ અને કૌટુંબિક અસમંજસના કારણે પતિ-પત્ની વચ્ચે ઊભી થયેલી એક ગંભીર સમસ્યામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે દૂધમાં સાકર ભળે તેમ સુખદ સમાધાન કરાવ્યું છે. ઘરખર્ચ અને વ્યક્તિગત જરૂરિયાતો માટે પતિ પાસે પૈસાની જરૂરિયાત પુરી નહીં કરવા જેવી બાબતે સમગ્ર મામલો અભયમ સુધી પહોંચ્યો હતો. પતિએ આવક બંધ થતાં ઘરખર્ચમાં આનાકાની અને માનસિક હેરાનગતિ શરૂ કરીગાંધીનગરના કુડાસણની પીડિતાને માતૃત્વની જવાબદારી નિભાવવા માટે તેણે પોતાની નોકરી છોડવી પડી હતી. અગાઉ જ્યારે તે આર્થિક રીતે આત્મનિર્ભર હતી ત્યારે દંપતી વચ્ચે કોઈ વિખવાદ નહોતો, પરંતુ જ્યારથી તેની આવક બંધ થઈ ત્યારથી પતિ દ્વારા ઘરખર્ચમાં આનાકાની અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે પણ પીડિતા પાસે નાણાં રહેતા નહોતાઆ સ્થિતિ એટલી હદે વણસી હતી કે, બાળકી માટે ફળ કે અન્ય જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે પણ પીડિતા પાસે નાણાં રહેતા નહોતા. માંગણી કરવા છતાં પતિ સમયસર વસ્તુઓ લાવી આપતો નહોતો. જેથી ઘટનાસ્થળે પહોંચેલી અભયમની ટીમે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. ત્યારે પતિએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, તે વસ્તુઓ લાવી આપે છે, પરંતુ કામના ભારણને કારણે ક્યારેક વિલંબ થતો હોય છે. અભયમ ટીમે બંને પક્ષોને સમજાવી સુખદ સમાધાન લાવ્યુંઅભયમની ટીમે પતિને સમજાવ્યું હતું કે, પત્ની એ ઘરની લક્ષ્મી છે અને તેની પાસે વાપરવા માટે પૂરતા નાણાં હોવા અનિવાર્ય છે .જેથી તેને નાની વાતો માટે કોઈની પાસે હાથ ફેલાવવા પડે નહીં. બીજી તરફ પીડિતાને પણ સમજાવવામાં આવ્યું કે ઘરની મોટી ખરીદી અને જવાબદારીમાં પતિનો સહકાર લેવો. આમ લાંબી સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હવેથી ઘરનું કરિયાણું, શાકભાજી તેમજ બાળકીની જરૂરિયાતો સમયસર પૂરી કરવાની સાથે પત્નીને અંગત ખર્ચ માટે નિયમિત રકમ આપવાની ખાતરી આપી હતી. આમ સંસાર તૂટવાને આરે પહોંચેલા પરિવારમાં 181ની ટીમે મધ્યસ્થી બનીને ફરી ખુશીઓ લાવી દીધી છે.
પોરબંદર જિલ્લાના રાણા રોજીવડા ગામે એક કરુણ ઘટનામાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. શાળા છૂટ્યા બાદ ન્હાવા ગયેલા નિખિલ હાજાભાઈ ટોરીયા (ઉં.વ. ૧૧) અને સુમિત જગદીશભાઈ સોલંકી (ઉં.વ. ૧૨) નામના કિશોરો કાળનો કોળિયો બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામના આ બંને બાળકો શાળાએથી પરત ફર્યા બાદ ગામના 'નેસડા તળાવ'માં ન્હાવા માટે ગયા હતા. તળાવમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા બંને ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા બાળકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે બંનેને બચાવી શકાયા નહોતા અને તેમના મોત નીપજ્યા હતા. મૃતક સુમિત જગદીશભાઈ સોલંકી તેના પરિવારમાં પાંચ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. આ દુર્ઘટનાને કારણે પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. ઘટના બાદ બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બગવદર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિલ્હીમાં દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠકમાં દાહોદના વિકાસલક્ષી પ્રશ્નો અને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા થઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ દાહોદમાં ચાલી રહેલા કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સને ગતિ આપવાનો અને નવા આયોજનો માટે માર્ગદર્શન મેળવવાનો હતો. આદિવાસી બહુલ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ જેવા પાયાના વિષયો પર ગહન ચર્ચા થઈ હતી. સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચે તે માટે સંગઠનાત્મક સ્તરે લેવાના પગલાં પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દાહોદના વિકાસના મુદ્દાઓમાં વિશેષ રસ દાખવ્યો હતો. તેમણે સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવા માટે સૂચનો કર્યા હતા. સહકારિતા મંત્રાલય દ્વારા દાહોદના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને સ્થાનિક રોજગારી વધારવા માટેના પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા થઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકથી દાહોદ સંસદીય ક્ષેત્રમાં વિકાસની નવી ગતિ જોવા મળશે. સાંસદ ભાભોર દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પર કેન્દ્રીય મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ મુલાકાતથી દાહોદના પ્રગતિશીલ કાર્યોને નવી ઊર્જા મળશે, જેનો સીધો લાભ દાહોદની જનતાને થશે. આ બેઠકને કારણે દાહોદના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આગામી એક અઠવાડિયામાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિધિવત ચૂંટણીના બ્યૂગલ ફૂંક્યું છે. સુરતમાં સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં દક્ષિણ ઝોન માટે ચૂંટણીલક્ષી મંથન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ગોરધન ઝડફિયા, દક્ષિણ ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના હોદ્દેદારોએ બેઠકમાં હાજર રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ભાજપે ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યોચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં દેખાયેલા સળવળાટ વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. પાછલા એક અઠવાડિયામાં મહાનગર, જિલ્લા, પ્રદેશની ચૂંટણી સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. એવામાં હવે દક્ષિણ ઝોનના 8 જિલ્લા, મહાનગર એટલે કે સુરત મહાનગર, સુરત જિલ્લો, તાપી, નર્મદા, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારીમાં આગામી ચૂંટણીલક્ષી મહત્વની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં 1 હજાર જેટલા અપેક્ષિતો હાજર રહ્યા હતા. તેમાં આઠેય જિલ્લા, મહાનગરના પ્રમુખો, મહામંત્રી, પ્રભારી, સાંસદ, પૂર્વ સાંસદો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, મેયર, પૂર્વ મેયર, પૂર્વ પ્રમુખો, સુરત મહાનગરના જ 30 વોર્ડના પ્રભારી, વોર્ડ પ્રમુખો, મહામંત્રી, અન્ય જિલ્લાઓના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો હાજર રહ્યા હતા. હોદ્દેદારો પાસેથી સ્થિતિ અને તૈયારીઓનો તાગ મેળવાશેપ્રદેશના હોદ્દેદારો દ્વારા બેઠકમાં ચૂંટણીને લઈને મહત્ત્વનું માર્ગદર્શન, ચર્ચા, સૂચનોની આપ લે કરવામાં આવ્યું હતું. ચૂંટણીના દિવસો નજીક છે ત્યારે આ બેઠકને રાજકીય રીતે પણ મહત્ત્વની છે. હોદ્દેદારો દ્વારા અપેક્ષિત સભ્યોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું અને ભવ્ય જીતની તૈયારી માટે તાકીદ કરવામાં આવી હતી. બીજીબાજુએ રાજ્ય સ્તરના હોદ્દેદારોની હાજરી સાથે જ મહાનગર, જિલ્લાના સ્થાનિક હોદ્દેદારો પાસેથી સ્થિતિ અને તૈયારીઓનો તાગ મેળવવામાં આવશે. ચૂંટણીના નવા સમીકરણો, સ્થિતિની બંધ બારણે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100% જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 30એ સૌરાષ્ટ્ર અને 1લીએ ઉત્તર ઝોનની શ્રેણીમાં બેઠકનું આયોજનપ્રશાંત કોરાટ (ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી)એ જણાવ્યું હતું કે, આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન સહ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે. બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે. 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર છે અને પહેલી તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 'ર્યકર્તા પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય'પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે. જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો, એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તા પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય સાથે પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ ચાલી રહ્યો છે. જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે, દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસગુજરાતની અંદર પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસ, સરકારે કરેલા કામો અને સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તો સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે. આવતીકાલે PM ની 'મન કી બાત ટિફિન બેઠક'આગામી 29મી તારીખે પ્રધાનમંત્રી જે રીતે મહિનાના છેલ્લા રવિવારે 'મન કી બાત' કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી જોડાતા હોય છે, ત્યારે આ વખતે પણ એ 'મન કી બાત'ના કાર્યક્રમની અંદર 'મન કી બાત ટિફિન બેઠક' ની સાથે દરેક મંડળની અંદર, ગુજરાતની અંદર 600થી વધારે મંડળોની અંદર આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. એની અંદર દરેક બૂથમાંથી ઓછામાં ઓછા પાંચ કાર્યકર્તાઓ જોડાવાના છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપે વિધિવત ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યુંસાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો 6ઠ્ઠી એપ્રિલે જે સ્થાપના દિવસ છે, એના આગલા દિવસે એટલે કે 5મી એપ્રિલે એક 'મહાસંપર્ક અભિયાન' ની અંદર દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિના કાર્યકર્તાઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લોકો સુધી, જન-જન સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવાના છે, લોકોનો સંપર્ક સાધવાના છે. ત્યારે આવનારા સમયમાં પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે, નવી ઊર્જા અને નવી શક્તિ સાથે એ લોકો આવનારી ચૂંટણીમાં કામ કરે એ માટે થઈને પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ ચાલી રહ્યો છે.
દ્વારકા રુકમિણી મંદિરે વિવાહ મહોત્સવ:28 માર્ચે છપ્પન ભોગ સાથે ભક્તિમય ઉજવણી
દ્વારકાના શ્રી રુકમિણી માતાજી મંદિરે 28 માર્ચે વિવાહ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે છપ્પન ભોગ, પ્રસાદી અને દિવ્યતાનો સંગમ જોવા મળ્યો હતો. મંદિરમાં સવારે 9 થી 12 વાગ્યા સુધી ભક્તિનો મહારંગ જામ્યો હતો. આ દિવ્ય કાર્યક્રમમાં અગિયારી અને મંડપમુહૂર્ત જેવા ધાર્મિક વિધિઓ પણ યોજાઈ હતી. ખાસ કરીને, છપ્પન ભોગની દિવ્ય છટાએ ભક્તોના મન મોહી લીધા હતા, જે આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા 232 ફાટક પાસેની માતૃકા રેસીડેન્સીમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે સાતમાં માળેથી ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અઈચ્છનિય ઘટના બને તે પહેલાં પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગે બે કલાકની ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યુંમળતી માહિતી મુજબ, શહેરના માંજલપુર પોલીસ સ્ટેશને એક ઇમરજન્સી કોલ મળતા જ પોલીસ ટીમ તેમજ ત્રણ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા શખશને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. યુવકનો ટેરેસ પર ચઢી નીચે કૂદવાનો પ્રયાસલીવ ઈનમાં રહેતા યુવકે મહિલા મિત્ર સાથે અણબનાવ બનતા આપઘાત કરવાનું નાટક કર્યું હોય તેમ ટેરેસ પર ચઢી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાકની ભારે જહેમતે રેસ્ક્યુ કરાયા બાદ આ શખસને વધુ પૂછપરછ માટે માંજલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ શખસનું નામ આકાશ રોહિતભાઈ પટેલ (ઉ.વ. 45) હોવાનું સામે આવ્યું છે. જે માતૃકા રેસીડેન્સી A/708 માં રહે છે. ત્રણ ફાયર સ્ટેશનના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યાઆ અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગના સાતમા માળે એક યુવક ટેરેસની પેરાફિટ પર બેસીને કૂદવા માટેના પ્રયત્ન કરતો હોય એવો કોલ મળ્યો હતો. જેથી તરત જ વડોદરા ફાયર બ્રિગેડમાંથી GIDC ફાયર સ્ટેશન, ગાજરાવાડી ફાયર સ્ટેશન અને પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુવકને સમજાવી બચાવી લેવાયો હતો. યુવકને બચાવવા બે કલાકની જહેમત ઉઠાવવી પડીરેસ્ક્યુ માટે રેસ્ક્યુ ટેન્ડર, નેટ લઇને આવ્યા હતા. જેથી કદાચ યુવક પડી જાય તો અમે નીચે તેને કેચ કરી શકીએ. આ સાથે હાઈરાઈઝ બિલ્ડિંગમાં બચાવ કામગીરી કરી શકીએ તેવું 45 મીટરનું 'બોન્ટો સ્કાય લિફ્ટ' પણ લાવવામાં આવી હતી. અત્યારે લગભગ બે કલાક જેટલી જહેમત ઉઠાવવી પડી હતી.
વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં રાજ્યનું પ્રથમ અને દેશનું બીજું ડિજિટલ લોન્જ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ લોન્જનું ઉદ્ઘાટન આજે 28 માર્ચે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે કરવામાં આવ્યું. હવે યાત્રીઓને રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી આધુનિક અને આરામદાયક સુવિધાઓ મળશે. 40થી વધુ યાત્રીઓ બેસી શકેડિજિટલ લોન્જમાં એકસાથે 25થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. ભારતીય રેલવેના ડિજિટલ લોન્જનો કોન્સેપ્ટ પહેલાં બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંજૂરી મળ્યા પછી આ સુવિધા શરૂ કરવામાં આવી. કાર્યક્રમમાં વડોદરા રેલ્વે મંડળના ડી. આર. એમ રાજુ ભડકે, સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા અને રેલવેના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતાં. નજીવા ચાર્જમાં ઉત્તમ સુવિધાઆ એસી લોન્જમાં માત્ર રૂ. 200 પ્રતિ કલાકના ચાર્જમાં મુસાફરોને ફ્રી વાઇફાઇ, ચા- કોફી, બેસવા માટે સોફા, ટીવી સહિતની સુવિધા મળી શકશે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન કોઈ મુસાફરે આરામ કરવો હોય તો રૂ. 700માં બે કલાક માટે આરામદાયક બેડ, વેલકમ ડ્રીંક, પાણીની બોટલ સહિતની સુવિધા મળી શકશે. અહીં લોકર સિસ્ટમ પણ ઉપલબ્ધ છે એટલે કે કોઈ મુસાફરે અહીં સામાન મૂકી કોઈ કામ અર્થે જવું હોય તો તે જઈ શકે છે અને ડિજિટલ લોકરનો રૂ. 100 પ્રતિ કલાક ચાર્જ આપી પોતાનો કિંમતી સમાન મૂકી શકે છે. કોન્ફરન્સની પણ સુવિધા ઉપલબ્ધ થશેઆ લોન્જમાં કોન્ફરન્સ હોલની પણ સુવિધા ઉપલબ્ધ છે. 1680 રૂપિયામાં ત્રણ કલાક માટે મિટિંગ હોલ મળી શકે છે, જેમાં વાઇફાઇ, ચા-કોફી, ટીવી પ્રેઝન્ટેશન સહિતની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. આ મિટિંગમાં 6 જેટલા વ્યક્તિ આરામથી મીટિંગ કરી શકે છે. સંચાલન પર રેલવે વિભાગ મોનિટરિંગ કરશેઃ DRMરેલવેના ડીઆરએમ રજૂ ભડકેએ જણાવ્યું હતું કે, આ લોન્જ દેશનું પહેલું અને ગુજરાતનું બીજુ લોન્જ છે. પહેલુ લોન્જ મુંબઈમાં છે. આ લોન્જનું સંચાલન પ્રાઇવેટ કંપની દ્વારા કરવામાં આવશે અને રેલવે વિભાગ તેનું સતત મોનિટરિંગ કરશે. વડોદરા એ મુસાફરોથી આવન-જાવનથી સતત ધમધમે છે, ત્યારે મુસાફરો માટે આ સુવિધા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. ‘બિઝનેસ માટે આવતા લોકોને સૌથી મોટો ફાયદો થશે’આની પાછળનો વિચાર એ છે કે, વડોદરા જે છે, તે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ટિવિટીઝ તેમજ બિઝનેસ એક્ટિવિટીઝ માટે ખૂબ જ મહત્વનું સ્ટેશન છે. અહીં વંદે ભારત અને ઘણી ટ્રેનો દ્વારા એવા પેસેન્જર્સ આવે છે, જે બિઝનેસ માટે આવતા હોય છે. તેઓ ઘણીવાર ઓડ અવર્સમાં (વહેલી સવારે કે મોડીરાત્રે) આવે છે અને પોતાનું કામ પતાવીને પરત જવાનું હોય છે, તેમના માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સામાન્ય મુસાફરો માટે પણ આ એટલી જ ફાયદાકારક રહેશે. વિકસિત વડોદરાથી વિકસિત ભારત સુધીનું સ્વપ્નઃ સાંસદસાંસદ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારતનો મંત્ર આપવામાં આવ્યો છે, ત્યારે વડોદરા ખાતે આ અત્યાધુનિક લોન્જના ઉદ્ઘાટનથી વિકસિત વડોદરાથી વિકસિત ભારતનો સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આ એક પગલું છે. જે પ્રકારે એરપોર્ટની અંદર VVIP લોન્જ હોય, તેવી જ રીતે વડોદરા રેલવે સ્ટેશનની અંદર પણ આજે ડિજિટલ લોન્જનું લોકાર્પણ કરાયું છે. મુસાફરો માટે આ નવલું નજરાણું બની રહેશે. ‘ભારતની બીજી અને ગુજરાતની પહેલી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન પર’વધુમાં ઉમેર્યું કે, જ્યારે મુસાફરને પોતે ચાલુ મુસાફરી દરમિયાન મીટિંગ અટેન્ડ કરવાની હોય, એમને થોડો ચા-નાસ્તો કરવો હોય કે બે-ચાર કલાક આરામ કરવો હોય, આ તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખૂબ નજીવા ભાવે આ તમામ સુવિધા સાથે શાવર અને વોશરૂમની પણ સુવિધા આજે વડોદરા રેલવે સ્ટેશન પર ઉપલ્બધ કરાઈ છે. ઉલ્લેખનીય બાબત છે કે, સમગ્ર ભારતની અંદર બીજી આવી સુવિધા અને ગુજરાતની પહેલી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઊભી થઈ છે, ત્યારે વડોદરાના તમામ મુસાફરોને અને રેલવેના અધિકારીઓને હું આ બાબતે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. એરપોર્ટ જેવી સુવિધા હવે રેલવે સ્ટેશન પરઃ MLA રોકડિયાસયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડોદરા એ વેસ્ટર્ન રેલવેનું મહત્વપૂર્ણ સ્ટેશન છે. ત્યારે આ એક્ઝિક્યુટિવ લોન્જ રૂપે મુસાફરો માટે સારી સુવિધા ઉભી કરવામાં આવી છે. એરપોર્ટ જેવી સુવિધા હવે રેલવે સ્ટેશન ઉપર પણ મળશે અને તે પણ નજીવા કિંમતે, જેથી મહત્તમ મુસાફરો તેનો લાભ લઈ શકશે. 40 લોકોથી વધુ ત્યાં સીટિંગ લઈ શકે અને બાજુમાં જ કોઈને કદાચ સૂવું છે, તો એક્ઝિક્યુટિવ બેડ સાથેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હું રેલવે વિભાગ અને ભારત સરકારનો આ તબક્કે અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું અને ખરા અર્થની અંદર જે એરપોર્ટની સુવિધા છે એ વડોદરા રેલવે સ્ટેશન પર પ્રથમવાર આપણને મળવા જઈ રહી છે. ‘રેલવે સ્ટેશન પર ભવિષ્યમાં નવા ફિચર્સ ઉમેરાશે’ખરા અર્થની અંદર લોકોને માણવાનું સ્થળ, જોવાનું સ્થળ વડોદરા રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. જે રીતે બુલેટ ટ્રેન પણ વડોદરા રેલવે સ્ટેશનની નજીક આવી રહી છે, એની સાથેની કનેક્ટિવિટી રેલવે સ્ટેશનની બને, રેલવે સ્ટેશન પર નવા ફિચર્સ ઉમેરાય, અહીંયા કાર્ગો માટે પણ અલગ ડેક બને, લોકોને જે બહાર અહીંથી પાર્સલ મોકલવું છે એનું અલગ ડેક બને, એને અલગ પેકિંગ માટેની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થાઓ રેલવે સ્ટેશન પર ભવિષ્યમાં થવાની છે.
સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયનીમ રેસિડન્સીમાં લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીને કારણે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે અટકી ગઈ હતી. જેમાં સવાર બે મહિલાઓ અડધો કલાક સુધી અંધારામાં ફસાયેલી રહી હતી. અંતે ફાયર વિભાગે દરવાજો તોડી બંનેને સુરક્ષિત બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. વહેલી સવારે ગ્રાઉન્ડ ફ્લોર પર જતી વખતે સર્જાઈ આફતમળતી વિગત મુજબ, વેસુ રોડ પર આવેલી જયનીમ રેસિડન્સીમાં રહેતા 35 વર્ષીય દિવ્યાબેન ગ્રોવર અને સ્વાટવીક ગ્રોવર આજે શનિવારે કોઈ કામ અર્થે બહાર જવા નીકળ્યા હતા. તેઓ લિફ્ટમાં બેસીને ગ્રાઉન્ડ ફ્લોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને લિફ્ટ પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરની બરાબર વચ્ચે જામ થઈ ગઈ હતી. બંધ લિફ્ટમાં મહિલાઓએ બૂમાબૂમ કરી, રહીશો દોડ્યાલિફ્ટ અધવચ્ચે અટકી જતાં લાઈટો ગુલ થઈ ગઈ હતી અને અંદર રહેલી બંને મહિલાઓ ગભરાઈ ગઈ હતી. ગૂંગળામણ અને ડરને કારણે મહિલાઓએ લિફ્ટની અંદરથી જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. બૂમો સાંભળીને એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડ અને અન્ય રહીશો દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લિફ્ટ લોક થઈ ગઈ હોવાથી સફળતા મળી ન હતી. ફાયર બ્રિગેડે સાધનો વડે દરવાજો તોડી જીવ બચાવ્યોસ્થિતિ ગંભીર જણાતા રહીશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ઓફિસર કિશોર પટેલની ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ હાઈડ્રોલિક ટૂલ્સ અને અન્ય સાધનોની મદદથી લિફ્ટના દરવાજાને ફોર્સથી ખોલ્યો હતો. અંદાજે અડધા કલાકની જહેમત બાદ બંને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. બહાર આવતા જ મહિલાઓએ હાશકારો અનુભવ્યો હતો અને તેમના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. લિફ્ટના મેઈન્ટેનન્સ સામે ઉઠ્યા સવાલોઆ ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં લિફ્ટના મેઈન્ટેનન્સને લઈને ચર્ચાઓ જાગી છે. લિફ્ટ અચાનક કેમ ખોટકાઈ અને ઈમરજન્સી એલાર્મ કેમ ન વાગ્યું તે તપાસનો વિષય છે. ફાયર વિભાગે પણ રહીશોને લિફ્ટનું નિયમિત સર્વિસિંગ કરાવવા અને ઈમરજન્સી સિસ્ટમ કાર્યરત રાખવા સૂચન કર્યું છે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમતા-રમતા ગુમ થઈ ગયેલી 9 વર્ષની બાળકીને પુણા પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ તેના પરિવાર સાથે મેળાપ કરાવાયો છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી બાળકીને શોધી કાઢી સરાહનીય કામગીરી કરી છે. રમતા-રમતા દીકરી ક્યાંક ચાલી જતા પરિવારમાં દોડધામ મચી હતીપુણા વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા કિરણબેન સોનીની 9 વર્ષની દીકરી ઘરની બહાર રમી રહી હતી. રમતા-રમતા આ માસૂમ બાળકી અચાનક નજર ચૂકવીને ક્યાંક ચાલી ગઈ હતી. મોડી સાંજ સુધી દીકરી ઘરે પરત ન ફરતા પરિવારે તેની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. આખરે હિંમત હારી ગયેલા માતા-પિતાએ પુણા પોલીસ સ્ટેશન દોડી જઈ પોલીસ ઇન્સ્પેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. પોલીસે વોટ્સએપ ગ્રુપોમાં ફોટા શેર કર્યા અને 40 સીસીટીવી તપાસ્યાબાળકી ગુમ થયાની ગંભીરતાને સમજીને પુણા પોલીસના પીઆઈ વી.એમ. દેસાઈ અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. સૌ પ્રથમ બાળકીનો ફોટો અને વિગતો પોલીસના વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં શેર કરવામાં આવી હતી. બીજી તરફ, સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં તપાસ તેજ કરવામાં આવી હતી. આશરે 2 કલાકની જહેમત બાદ 40 જેટલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસીને પોલીસે બાળકીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેને હેમખેમ શોધી કાઢી હતી. ગણતરીના કલાકોમાં બાળકી ઘરે પરત આવતા માતા-પિતા ભાવુક થયાપોલીસે બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢી તેના વાલીવારસને સોંપતા સોસાયટીમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. પોતાની વહાલી દીકરીને સહીસલામત જોઈને માતા-પિતા ભાવુક થઈ ગયા હતા અને પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈ અને આર.એચ. મોરીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ ડી.કે. બોરાણા, પી.એલ. કળથીયા તેમજ એ.એસ.આઈ. તુષારભાઈ, કિંજલબેન અને સર્વેલન્સ સ્ટાફના 16 જેટલા પોલીસ જવાનોએ ટીમવર્કથી સફળતા મેળવી હતી.
આગામી 31 માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન સાણંદ ખાતે અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમને લઈને ટેકનિકલ એજ્યુકેશન કમિશનર દ્વારા સરકારી પોલીટેકનિક અને ઇજનેરી કોલેજોને એક પરિપત્ર કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકને લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ટેક્નિકલ એજ્યુકેશન કમિશનરને સવાલ કરતા કોંગ્રેસે કહ્યું કે, સાહેબ વ્હાલા થવા માટે વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જગ્યા ખાલી પડી છે તો તે કેમ ભરવામાં આવતી નથી? ભીડ ભેગી કરી વિદ્યાર્થીઓને નુકશાન પહોંચાડાતું હોવાનો દાવોરાજ્યની અલગ અલગ સરકારી ઇજનેરી અને પોલીટેકનિક કોલેજોમાં 250થી લઈને 100 જેટલા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. અધ્યાપકને પણ હાજર રહેવાનો આદેશ કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન કમિશનર દ્વારા ભીડ ભેગી કરવા આદેશ કરી વિદ્યાર્થીઓને નુકશાન પહોંચાડાતું હોવાનો દાવો કર્યો છે. છેલ્લા ઘણા સમયથી 50 ટકા કરતા વધુ જગ્યાઓ ખાલી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. અનેક રજૂઆત છતાં ખાલી પડેલી જગ્યાઓ કેમ ભરવામાં આવતી નથી તેને લઈને પણ કોંગ્રેસે સવાલ કર્યો છે. વિદ્યાર્થીઓના હિત માટે ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે તેવી માગ કરી છે. PMનો કાર્યક્રમ હોય એટલે ફરજિયાત શિક્ષકો-અધ્યાપકોને બોલાવાય છેગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રધાન ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે જ્યારે પ્રધાનમંત્રી આવ્યા અથવા તો ભાજપનો કોઈ મોટો કાર્યક્રમ હોય તો શાળા અને કોલેજોમાંથી ફરજિયાત શિક્ષકો અને અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને બોલાવી ભીડ એકત્ર કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. 31મી તારીખે વડાપ્રધાન આવી રહ્યા છે. ત્યારે સરકારી 16 જેટલી ઈજનેરી કોલેજ અને 26 જેટલી સરકારી પોલીટેકનિક કોલેજમાંથી વિદ્યાર્થીઓને ફરજિયાત લાવવા માટે સૂચના અપાય છે. જેના માટે સંખ્યા અને અધ્યાપક પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. તેમજ કમિશનર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આગોતરા આયોજન માટે દરેક કોલેજમાંથી 100થી લઈને 250 વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થીઓ લાવવા માટેનો આદેશ જારી કર્યો છે. કોંગ્રેસે ટેકનિકલ એજ્યુકેશનને ખાડે નાખવાનું વધુ એક કાવતરું ગણાવ્યુંવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભીડ ભેગી કરવા માટે જે આદેશ કરવામાં આવ્યો છે તે એવું લાગે છે કે ટેકનિકલ એજ્યુકેશનને ખાડે નાખવાના વધુ એક કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો છે. એક તરફ સરકારી પોલીટેકનિક અને ડિપ્લોમા કોલેજમાં 54 ટકાથી લઈને 64 ટકા સુધી જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી પડી છે. વર્ગ 3 અને 4ની 64 ટકાથી 74 ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી છે. એટલે લેબ આસિસ્ટન્ટ નથી, લાઇબ્રેરીયન નથી તેમજ અન્ય વૈકલ્પિક લેબોરેટરીના સપોર્ટિંગ સ્ટાફ ન હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતે પ્રેક્ટિકલ નોલેજ મેળવશે. ખાલી પડેલી જગ્યાઓ કેમ ભરવામાં આવતી નથી?નો સવાલ ઉઠાવ્યોખાલી પડેલી જગ્યા ભરવાની માગ સાથે ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી અધ્યાપક ન આપીને સામાન્ય અને મધ્યમ વર્ગના ઓછામાં ફીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માગે છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. જેથી ટેકનિકલ કમિશનરને કહેવા માંગીએ છીએ કે ગૂગલ ફોર્મ દ્વારા સાહેબને વ્હાલા થવા માટે આદેશ જારી કરી વિદ્યાર્થી અને અધ્યાપકનું લિસ્ટ મોકલવા આદેશ કરવામાં આવે છે. તો લાંબા સમયથી મુકેલા ખાલી પડેલા અધ્યાપકોના લિસ્ટ પ્રમાણે કેમ યોગ્ય પડતી કરવામાં નથી આવતી ? અને વર્ગ ત્રણ અને ચારની કેમ ભરતી કરવામાં આવતી નથી ? જો આ રીતે જ ચાલશે તો કઈ રીતે વિદ્યાર્થીઓ ઇજનેર બની શકશે ?
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલી શારદાકુંજ સોસાયટીમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગાયત્રી પરિવારની મહિલાઓ દ્વારા પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ પરંપરાએ 40મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી ગાયત્રી પરિવાર શારદાકુંજ શાખા દ્વારા છેલ્લા 39 વર્ષથી ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન ગાયત્રી અનુષ્ઠાન અને યજ્ઞ દ્વારા સનાતન ધર્મની સંસ્કૃતિને જાગૃત રાખવાનો ઉપક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિસ્તારની આશરે 70 થી 75 મહિલા સભ્યો દ્વારા ગાયત્રી મંત્રોચ્ચાર સાથે સામૂહિક અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. અનુષ્ઠાન પૂર્ણ થતા શનિવારે પંચકુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો, જેમાં અનુષ્ઠાન કરનાર મહિલાઓએ સામૂહિક આહુતિ અર્પણ કરી પૂર્ણાહુતિ આપી હતી. આ પ્રસંગે સુધાબેન જશવંતલાલ જોશી (હિંગવાલા) યજમાન પદે બિરાજમાન રહ્યા હતા. કાર્યક્રમના અંતે યજમાન પરિવારે મહાપ્રસાદનું આયોજન કરી સૌને પ્રસાદ વિતરણ કર્યું હતું.
વૈશ્વિક સ્તરે, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ નજીક સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારત માટે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સ્થિત વાડીનાર પોર્ટ પર LPG ગેસથી ભરેલું વિશાળ જહાજ ‘જગ વસંત’ સુરક્ષિત રીતે પહોંચ્યું છે. આ જહાજ અંદાજે 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો લઈને આવ્યું છે. આટલી મોટી માત્રામાં ગેસનો જથ્થો આવવાથી આગામી દિવસોમાં ઘરેલુ ગેસ (LPG)ના સપ્લાયમાં સ્થિરતા જળવાઈ રહેશે અને અછતની શક્યતાઓ નહિવત બનશે. અન્ય દેશો સાથેના તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને, આ જહાજના આગમન સાથે જ પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. હાલમાં અત્યંત તકેદારી અને સુરક્ષા પ્રોટોકોલ સાથે જહાજમાંથી ગેસ સ્થળાંતર (Unloading) કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વાડીનાર પોર્ટ ભારતની ઉર્જા સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ ‘જગ વસંત’નું સફળ આગમન એ ભારતની મજબૂત લોજિસ્ટિક્સ અને સુરક્ષા વ્યવસ્થાનો પુરાવો આપે છે.
વાપીના કોપરલી રોડ પર દીપડો દેખાયો:દિવસ દરમિયાન લટાર મારતો વીડિયો વાયરલ, વન વિભાગ સક્રિય
વાપીના કોપરલી રોડ પર દિવસ દરમિયાન એક દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં વન વિભાગ સક્રિય બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોપરલી રોડ પરથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકે દીપડાને રોડ પર લટાર મારતો જોયો હતો. વાહન નજીક આવતા દીપડો ઝાડીઓ તરફ દોડી ગયો હતો. આ દ્રશ્યો વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. કોપરલી વિસ્તાર રહેણાંક અને અવરજવરથી ભરચક ગણાય છે. આવા વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને પશુપાલકોમાં તેમના પશુઓની સુરક્ષાને લઈને ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે વિસ્તારમાં પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દીપડાની હલચલ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે તેને પકડવા માટે પાંજરું ગોઠવવાની કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગે સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા અને કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
ભરૂચમાં ગુજકેટની તૈયારીઓ પૂર્ણ:આવતીકાલે 20 કેન્દ્રો પર 3767 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ભરૂચ જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે, 29 માર્ચના રોજ, જિલ્લાના 20 કેન્દ્રો પર કુલ 3767 વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા શિક્ષણ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા 3767 વિદ્યાર્થીઓમાં 1785 ગુજરાતી માધ્યમના, 1951 અંગ્રેજી માધ્યમના અને 31 હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા માટે જિલ્લામાં 20 કેન્દ્રો નિર્ધારિત કરાયા છે, ઉપરાંત 36 મહત્વના સ્થળો પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે. પરીક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે 172 બ્લોક નિરીક્ષકો, 18 ઓબ્ઝર્વર અને 36 સેક્ટર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન ભૌતિક વિજ્ઞાન-રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોની પરીક્ષા અલગ-અલગ સમયગાળામાં લેવાશે. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાનો આદેશ પણ જારી કરાયો છે. ઉમેદવારોને મોબાઈલ, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર પીવાનું પાણી, આરોગ્ય સુવિધાઓ અને અન્ય જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરીક્ષાના સુવ્યવસ્થિત આયોજન માટે શિક્ષણ વિભાગના ઈનચાર્જ શિક્ષણ અધિકારી સચિન શાહના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પાટણના મીરા દરવાજા વિસ્તારમાં વિપુલભાઈના પરિવારે સ્વર્ગસ્થ પુત્ર નીલુના જન્મદિવસ નિમિત્તે અંબાજી દર્શનનો વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો. બે વર્ષ પહેલા હરિદ્વારમાં બનેલી દુઃખદ ઘટના બાદ પરિવારમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થતા આ ખુશીની ઉજવણીમાં સમગ્ર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે વિપુલભાઈનો પુત્ર હરિદ્વાર ખાતે ગંગા નદીમાં સમાઈ ગયો હતો. તે સમયે પરિવાર પર મોટી આફત આવી પડી હતી. આ કપરા સમયમાં મીરા દરવાજા વિસ્તાર અને પાટણના લોકોએ પરિવારના સભ્યની જેમ પડખે ઊભા રહી પ્રાર્થના કરી હતી. લોકોની પ્રાર્થના બાદ વિપુલભાઈના ઘરે ફરી પુત્રનો જન્મ થયો હતો. સ્વર્ગસ્થ પુત્રના જન્મદિવસ પર કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને નવા પુત્રના જન્મની ખુશીમાં આ અંબાજી દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિસ્તારના લોકો સુખ-દુઃખમાં પરિવારની જેમ સાથે રહી આજે આ આનંદના પ્રસંગમાં ભાગીદાર બન્યા છે. આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મીરા દરવાજા વિસ્તારના લોકો સવારે વિલેજ પાર્ટી પ્લોટ ખાતે ભોજન લઈ અંબાજી જવા રવાના થયા હતા. આખો દિવસ અંબાજી ખાતે દર્શન અને પ્રવાસ કરી રાત્રે પરત ફર્યા બાદ ફરી અહીં ભોજન કરી છૂટા પડશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્ય લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે મીરા દરવાજા વિસ્તાર તેમના માટે ઘર સમાન છે અને સુખ હોય કે દુઃખ, આ વિસ્તારના લોકો હંમેશા તેમની સાથે ઊભા રહ્યા છે. આજે જ્યારે પરિવારમાં આનંદનો અવસર છે ત્યારે આખો વિસ્તાર આ પ્રવાસમાં સાથે જોડાતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને સંખેડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. 17 કરોડના કુલ 776 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલા કામોમાં 15% વિવેકાધીન (તાલુકા અને નગરપાલિકા કક્ષા) અને 5% પ્રોત્સાહક જોગવાઈ હેઠળના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કામો સરકારની માર્ગદર્શિકા મુજબ અને જનહિતને ધ્યાનમાં રાખીને મંજૂર કરાયા છે. બેઠકમાં વર્ષ 2022થી અત્યાર સુધીના પ્રગતિ હેઠળના તેમજ અપ્રારંભિત કામોની પણ તાલુકાવાર અને નગરપાલિકા વિસ્તાર મુજબ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે, પ્રાયોજના વહીવટદારની કચેરીની 'ન્યુક્લિયસ બજેટ યોજના' હેઠળ હોમ સ્ટેના લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. આ પહેલથી જિલ્લામાં પર્યટન અને સ્થાનિક રોજગારીને વેગ મળશે તેવી અપેક્ષા છે. બેઠકને સંબોધતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સાથે જોડાયેલા કાર્યોને પ્રાથમિકતા આપી સત્વરે શરૂ કરવા જોઈએ. તેમણે અગાઉના વર્ષના બાકી રહેલા કામોને પણ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા વહીવટી તંત્રને તાકીદ કરી હતી. મંજૂર થયેલા કુલ રૂ. 17 કરોડના 776 વિકાસ કામોમાં તાલુકાવાર વિતરણ નીચે મુજબ છે: છોટાઉદેપુર તાલુકામાં રૂ. ૨૫૦ લાખના ૧૨૨ કામો, કવાંટ તાલુકામાં રૂ. ૨૫૦ લાખના ૧૨૬ કામો, જેતપુરપાવી તાલુકામાં રૂ. ૨૦૦ લાખના ૧૧૯ કામો, બોડેલી તાલુકામાં રૂ. 250 લાખના 92 કામો, નસવાડી તાલુકામાં રૂ. 250 લાખના 122 કામો, સંખેડા તાલુકામાં રૂ. 250 લાખના 81 કામો અને કદવાલ તાલુકામાં રૂ. 150 લાખના 99 કામોનો સમાવેશ થાય છે. નગરપાલિકા કક્ષાએ છોટાઉદેપુર નગરપાલિકામાં રૂ. ૫૦ લાખના ૮ કામો અને બોડેલી નગરપાલિકામાં રૂ. 50 લાખના 6 કામોને મંજૂરી મળી છે. આ બેઠકમાં ધારાસભ્યો અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા આયોજન અધિકારી જે.જે.પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તમામ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચોટીલા સબ ડિવિઝનમાં 9.50 કરોડના વિકાસ કામોનું આયોજન:ATVT કાર્યવાહક સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ માટે 9.50 કરોડ રૂપિયાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને અને ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણની ઉપસ્થિતિમાં એ.ટી.વી.ટી. (આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો) કાર્યવાહક સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકનો મુખ્ય હેતુ 'આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો' અભિગમ અંતર્ગત તાલુકાની સામાજિક, ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ યોજના બનાવવાનો છે. આ યોજના દ્વારા રાજ્યના વિકાસનો સુઆયોજિત માર્ગ નક્કી કરવામાં આવશે. આ આયોજન માટે તમામ ગામોની વિલેજ પ્રોફાઈલ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં વસ્તી વિષયક માહિતી, સાક્ષરતા દર, બી.પી.એલ. પરિવારો, કામ કરનારાઓનું વર્ગીકરણ, ઘરોની સંખ્યા, જમીન, શિક્ષણ, પીવાના પાણી, સેનિટેશન અને આરોગ્ય જેવી વિગતોનો સમાવેશ થાય છે. આ પ્રોફાઈલનો ઉપયોગ કરીને તાલુકાની જરૂરિયાતો અને વિકાસની તકો નક્કી કરવામાં આવશે. આયોજન મુજબ, ચોટીલા તાલુકા માટે 4 કરોડ રૂપિયા, મૂળી તાલુકા માટે 2.25 કરોડ રૂપિયા અને થાનગઢ તાલુકા માટે 3.25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમ, કુલ 9.50 કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ રકમનો ઉપયોગ લાઈબ્રેરી, ભોજન શેડ, પેવર બ્લોક, સી.સી. રોડ, સંરક્ષણ દિવાલ, સેનિટેશન સંકુલ, કમ્પાઉન્ડ વોલ અને ભૂગર્ભ ગટર જેવા વિવિધ વિકાસ કાર્યો માટે કરવામાં આવશે. આ બેઠકમાં ધારાસભ્ય શામજી ચૌહાણ ઉપરાંત ચોટીલા, થાનગઢ અને મૂળીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, એ.ટી.વી.ટી.ના નાયબ કાર્યપાલક ઈજનેર, બાળ વિકાસ અધિકારી, અધિક મદદનીશ ઈજનેર અને બિન-સરકારી સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના વારસિયામાં મા અંબા મંદિરે ભક્તો ઉમટ્યા:ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે યજ્ઞ-ભંડારાનું આયોજન
વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સંતકંવર કોલોની ટી દસ સામેના મા અંબાના દરબારમાં ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર સ્થાન એક સો વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં મા ભગવતી અંબા, મહાકાળી મા અને ખોડીયાર મા બિરાજમાન છે. મંદિરની સ્થાપના સદગુરુ આશારામ મિશ્રા મહારાજના સાનિધ્યમાં કરવામાં આવી હતી.સદગુરુના લોકકલ્યાણ બાદ, હાલમાં આચાર્ય સુનીલ મહારાજના પાવન માર્ગદર્શન હેઠળ આ ધામની સેવા અને સંચાલન ચાલી રહ્યું છે. ભક્તોની માન્યતા અનુસાર, આ પવિત્ર સ્થાને આવનાર દરેક ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મા ભગવતીની કૃપાથી સંતાન પ્રાપ્તિ, રોગોમાંથી મુક્તિ અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.આ સંસ્થામાં છેલ્લા સો વર્ષથી ભંડારા સતત ચાલતા આવ્યા છે. ખાસ કરીને ચૈત્ર અને આસો નવરાત્રિના પાવન અવસર પર યજ્ઞ અને ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવે છે.
સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 8 કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ ઓપરેશન દ્વારા પોલીસે નશાના કાળા કારોબારના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. પોલીસે બાતમી મળતા વોચ ગોઠવીમળતી માહિતી મુજબ, રેલવે SOGને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ મોટી માત્રામાં માદક પદાર્થનો જથ્થો લઈને સુરત રેલવે સ્ટેશન પર ઉતરવાનો છે અને તે શહેરના કોઈ મોટા સપ્લાયરને આ માલ પહોંચાડવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે SOGની ટીમે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને બહારના પરિસરના એક્ઝિટ પોઈન્ટ્સ પર વોચ ગોઠવી દીધી હતી. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યોબાતમી મુજબનો શખસ જ્યારે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી સ્પીડ પાર્સલની ઓફિસ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોલીસની ટીમે તેને અટકાવ્યો હતો. પોલીસને જોઈને આ ઈસમ ગભરાઈ ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા આરોપી શખસ પાસેથી ગાંજો મળ્યોજ્યારે તેની પાસે રહેલા થેલાની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી કેફી પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક એફએસએલની ટીમની મદદ લઈને જથ્થાનું વજન અને ચકાસણી કરાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ નૃશીમા સ્વાઇન તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તે આ ડ્રગ્સ નેટવર્કમાં એક 'પેડલર' તરીકે કામ કરતો હતો. પોલીસે તેની પાસેથી 8.040 કિલોગ્રામ ગાંજાનો કુલ જથ્થો કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 4,03,200 થાય છે અને મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. માદક પદાર્થોની હેરાફેરી માટે ટ્રેન સૌથી સુરક્ષિત માધ્યમપ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો સામે આવી છે કે, માદક પદાર્થોની હેરાફેરી માટે ટ્રેન એ સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે, કારણ કે લાખો મુસાફરોની અવરજવર વચ્ચે પોલીસની નજર ચૂકવવી સરળ બને છે. આરોપી નૃશીમા સ્વાઇન સંભવત ઓડિશા કે આંધ્રપ્રદેશના રસ્તેથી આ જથ્થો લઈને આવ્યો હોવાની શંકા છે. તે સુરતમાં કોણ રિસીવર છે તેની રાહ જોઈ રહ્યો હતો, તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો. અન્ય આરોપીની શોધખોળહાલમાં રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં આ ગાંજાનો જથ્થો તેને કયા રાજ્યમાંથી અને કોણે આપ્યો હતો? અને સુરતમાં આ માલ કયા વિસ્તારમાં અને કયા મોટા ડ્રગ્સ માફિયાને આપવાનો હતો? તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં બહારથી આવતા પેસેન્જરો પર સતત વોચ રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરત પોલીસે કરોડો રૂપિયાનું એમ.ડી. ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડ્યો છે.
પોરબંદર મહાનગરપાલિકા બની ગઈ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વતન એવા આ શહેરમાં વિકાસે ગતિ પકડી છે. મનપા દ્વારા રતનપર વિસ્તારમાં આવેલા 'જન્નત બીચ'ને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે ₹1.10 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પોરબંદરને ગુજરાતના પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અહીં લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ, વિશ્રામ માટે 10 ગઝેબો અને બીચ વોલીવોલ પર્યટનપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓઆ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ, 'ફર્ન હોટલ' સામેના દરિયાકાંઠાને આધુનિક પ્રવાસન કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવામાં આવશે. આ વિકાસ કાર્યમાં અવનવી સુવિધાઓનો સમાવેશ થાય છે: આધુનિક ગઝેબો: પ્રવાસીઓના વિશ્રામ માટે બીચ પર અંદાજે 10 જેટલા આધુનિક ગઝેબો બનાવવામાં આવશે. લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ: બીચની સુંદરતા વધારવા માટે આકર્ષક લેન્ડસ્કેપિંગ (હરિયાળી) અને રાત્રિના સમયે પ્રવાસીઓને આકર્ષવા માટે અત્યાધુનિક લાઈટિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે. સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ: યુવાનો અને રમતપ્રેમીઓ માટે બીચ વોલીબોલ જેવી સુવિધાઓ ઊભી કરાશે, જેથી પ્રવાસન સાથે મનોરંજન અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે. વહીવટી પ્રક્રિયા અને અમલીકરણમહાનગરપાલિકા કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓની સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા અનુસાર, આ બીચ આગામી સમયમાં શહેરની એક મહત્વપૂર્ણ ઓળખ બનીને ઉભરશે. રોજગારી અને પ્રવાસનને વેગઆ વિકાસ કાર્યથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો સર્જાશે. પોરબંદરમાં અત્યાર સુધી પ્રવાસીઓ માટે મુખ્યત્વે ચોપાટીનો વિકલ્પ ઉપલબ્ધ હતો, પરંતુ હવે રતનપર બીચના રૂપમાં વધુ એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ મળશે. પાલિકા તંત્રના મતે, આ પ્રોજેક્ટથી પોરબંદરના પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે અને તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
વલસાડ જિલ્લામાં ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને તેની અછતને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો ખાલી ગેસ સિલિન્ડર માથા પર રાખીને અને હાથમાં સરકાર વિરોધી બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. તેમણે મોંઘવારી અને ગેસની અછત સામે સૂત્રોચ્ચાર કરીને સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓને રોકવાના પ્રયાસમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આના કારણે સ્થળ પર થોડા સમય માટે તંગ પરિસ્થિતિ ઊભી થઈ હતી. વિરોધ વધુ તીવ્ર બનતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પોલીસે કાર્યકરોને બળજબરીપૂર્વક પોલીસ વાનમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. આ કાર્યવાહીમાં અનેક અગ્રણીઓ સહિત ઘણા કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, મોંઘવારીના કારણે સામાન્ય જનતા પર મોટો બોજ આવ્યો છે. ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે અને બજારમાં અછત છે. તેમણે જણાવ્યું કે, લોકોના પ્રશ્નો ઉઠાવતા વિરોધને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાએ જિલ્લામાં ગેસ મુદ્દે રાજકીય ગરમાવો વધાર્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિરોધ પ્રદર્શનો જોવા મળે તેવી શક્યતા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રી રામ મંદિર ખાતે ચૈત્ર સુદ નવમીના રોજ શ્રીરામ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની આગેવાની હેઠળ નૂતન રામ મંદિર ખાતે દિવસભર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શ્રીરામ પ્રભુની મહાપૂજા, ધ્વજા પૂજા અને મધ્યાહને શ્રીરામ જન્મોત્સવની મહાઆરતીનો સમાવેશ થાય છે. મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું. સાંજના સમયે શ્રી રામ મંદિર ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, શ્રીરામને વિશેષ અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે શ્રીરામ પ્રભુની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ભક્તો અને બહારથી પધારેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.આ સાથે જ, પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મંદિરમાં પણ સાયં આરતી સમયે સોમનાથ મહાદેવને 'શ્રીરામ દર્શન શૃંગાર' કરવામાં આવ્યો હતો. આ શૃંગાર દ્વારા શ્રીરામ અને શિવજીના પરસ્પર સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું હતું, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પુરાતન પુસ્તકો અનુસાર, પ્રભુ શ્રીરામ પિતૃ તર્પણ માટે પ્રભાસ તીર્થમાં પધાર્યા હતા. શાસ્ત્રોમાં રામ અને શિવજીના અભિન્ન સંબંધનું વર્ણન છે, જેમ કે 'રામસ્ય ઈશ્વરઃ યઃ સઃ રામેશ્વરમ્' અને 'રામઃ ઈશ્વરઃ યસ્ય સઃ રામેશ્વરમ્'. આ શૃંગાર દ્વારા શિવજીમાં શ્રીરામની છબી જોઈ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.
હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન યાર્ડ બે દિવસ બંધ:માર્ચ એન્ડિંગને કારણે, 1 એપ્રિલથી ખરીદી શરૂ થશે
માર્ચ એન્ડિંગને કારણે હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ 30 અને 31 માર્ચના રોજ બે દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ખેત પેદાશોની ખરીદી અને વેચાણની કામગીરી સ્થગિત રહેશે. માર્કેટયાર્ડ સત્તાવાળાઓ દ્વારા ખેડૂતોને આ બે દિવસ દરમિયાન તેમની ખેત પેદાશો વેચાણ માટે ન લાવવા જાણ કરવામાં આવી છે. આ નિર્ણય માર્ચ મહિનાના અંતિમ હિસાબો અને વહીવટી કાર્યને કારણે લેવામાં આવ્યો છે. સામાન્ય ખેત પેદાશોની ખરીદી 1 એપ્રિલ, બુધવારથી રાબેતા મુજબ ફરી શરૂ થશે. ખેડૂતો તે દિવસથી પોતાની જણસી વેચાણ માટે લાવી શકશે. હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં તમાકુની ખરીદી 2 એપ્રિલ, ગુરુવારથી શરૂ થશે. તમાકુ વેચવા ઈચ્છતા ખેડૂતોએ પોતાની જણસી હિંમતનગરના સહકારી જીન પાસે આવેલા કોટન માર્કેટયાર્ડમાં લાવવાની રહેશે.
આજના સોશિયલ મીડિયાના યુગમાં લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લ્હાયમાં લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા જરા પણ અચકાતા નથી. પરંતુ જૂનાગઢના માંગરોળમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાના સગીર સંતાનને બાઇક ચલાવવા આપી કાયદાનો ભંગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ માંગરોળ પોલીસે ત્વરિત એક્શન લીધા છે અને સગીરના પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં એક નાનો સગીર બાળક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રસ્તા પર પુરપાટ ઝડપે બાઇક ચલાવતો નજરે પડતો હતો. આ વીડિયો પોલીસના ધ્યાન પર આવતા માંગરોળ પોલીસ હરકતમાં આવી હતી. વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે સગીર વયના બાળકોને વાહન ન આપવું, તેમ છતાં આ ઘટનાએ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા હતા. વાયરલ વીડિયોના આધારે માંગરોળ પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે બાઇક નંબર અને બાળક સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, જે બાળક બાઇક ચલાવી રહ્યો હતો, તેને તે બાઇક તેના પિતાએ જ ચલાવવા માટે આપી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરતા સગીરના પિતાને ઝડપી પાડ્યા હતા. પોલીસે કાયદાકીય જોગવાઈઓ મુજબ ગુનો નોંધી પિતા સામે લાલ આંખ કરી છે. સગીરને વાહન આપવું એ માત્ર ટ્રાફિક નિયમનો ભંગ નથી, પરંતુ બાળકના અને રસ્તા પર ચાલતા અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકવા સમાન છે. ધરપકડ બાદ પોલીસે સગીરના પિતાને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સગીર વયના બાળકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોતું નથી અને તેઓ માનસિક કે શારીરિક રીતે મોટા વાહનો ચલાવવા માટે સક્ષમ હોતા નથી. આવા કિસ્સામાં અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. નવા ટ્રાફિક નિયમો મુજબ, જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય, તો વાહન માલિક અથવા વાલી સામે કડક દંડ અને જેલની સજાની જોગવાઈ છે.માંગરોળની આ ઘટના વાલીઓ માટે એક ચેતવણી સમાન છે. અનેક વાલીઓ પોતાના બાળકને વહેલું વાહન શીખવાડવાના મોહમાં કે વટ પાડવા માટે બાઇક કે કાર આપી દેતા હોય છે, પરંતુ આ ભૂલ કાયદાના સંઘર્ષમાં લાવી શકે છે અથવા ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં માર્ચના અંતિમ દિવસોમાં જ મે મહિના જેવી તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આજે તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ ઉકળાટ અને ગરમ પવનો લોકોની મુશ્કેલી વધારશે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે આકાશ ચોખ્ખું રહેશે અને તાપમાન 34.5C થી 36C વચ્ચે રહેવાની શક્યતા છે. જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોની સરખામણીએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ગરમી વધુ તીવ્ર રહેવાની સંભાવના છે. વલસાડ શહેરમાં 35C, વાપીમાં 36C, પારડીમાં 35C, ધરમપુરમાં 37C, કપરાડામાં 37C અને ઉમરગામમાં 34C તાપમાન રહેવાનો અંદાજ છે. ગરમીમાં વધારા પાછળ મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા સૂકા પવનો જવાબદાર છે. રાત્રિનું તાપમાન પણ 23-24C આસપાસ રહેતા ગરમીનો અહેસાસ યથાવત્ રહે છે. હવામાન વિભાગે ખાસ કરીને બપોરે 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. લોકોને વધુમાં વધુ પાણી, છાશ અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગત દિવસોમાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણી, લીંબુ શરબત, શેરડીનો રસ અને બરફ ગોળા જેવા પીણાંનો આશ્રય લેતા જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ ઊંચો જવાની શક્યતાઓ છે. વધતી ગરમીના કારણે કેરીના પાક પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને 'ખરણ' (ફળ ખરી પડવું) વધવાની શક્યતા હોવાથી વાડી માલિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી મીઠું પકવતા અગરિયા પરિવારોને થયેલા નુકસાન અંગે સાંસદ ચંદુ શિહોરાએ લોકસભામાં રજૂઆત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને અગરિયાઓને ખેડૂતોની જેમ 'PM કિસાન સન્માન નિધિ' અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ આપવા વિનંતી કરી હતી. સાંસદે નુકસાનીનો તાકીદે સર્વે કરાવવા બદલ ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, તાજેતરમાં ગુજરાત વિધાનસભા ખાતે અગરિયા મહાસંઘના પ્રતિનિધિઓએ દસાડાના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, કચ્છના નાના રણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે અગરિયા પરિવારોને થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર સાથે અગરિયા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોલાર પેનલો, મીઠાના ઉત્પાદન, રહેણાંકના છાપરા અને ઘરવખરીમાં થયેલા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે અસરગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રાથમિક સર્વે કરાવવાની અને સર્વે રિપોર્ટના આધારે નુકસાનગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ રજૂઆત સમયે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુ દેગામા અને પ્રહલાદ સહિતના અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.
મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં ટ્રક ચાલકોની બેદરકારીને કારણે દંપતી સહિત એસ.ટી. બસના કંડક્ટરને ઈજાઓ પહોંચી છે. આ બંને મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રથમ ઘટના:ડી-માર્ટ સર્કલ પાસે દંપતીને ટ્રકે અડફેટે લીધાગાંધીનગરના છત્રાલ બિલેશ્વરપુરા ખાતે રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમેશભાઈ ભગવાનદાસ શ્રીમાળી અને તેમના પત્ની જ્યોત્સનાબેન ગત સાંજે પોતાના વતન કામલીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મહેસાણા બાયપાસ ડી-માર્ટ સર્કલ પાસે ઊંઝા તરફથી આવી રહેલા એક ટ્રક નંબર: RJ GF 9009ના ચાલકે તેમના સ્પ્લેન્ડર મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દંપતી રોડ પર પટાકાયું હતું, જેમાં રમેશભાઈને જમણા પગે ફેક્ચર અને તેમની પત્ની જ્યોત્સનાબેનને ડાબા પગે ગંભીર ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી ઘટના: પાંચોટ ચોકડી પાસે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માતઅકસ્માતનો બીજો બનાવ વહેલી સવારે પાંચોટ ચોકડી પાસે બન્યો હતો. વાપી ડેપોની વાપી-ચાણસ્મા સ્લીપર કોચ બસ નંબર GJ-18-Z-8701 જ્યારે મહેસાણા રાધનપુર ચોકડીથી ચાણસ્મા તરફ જઈ રહી હતી ત્યારે પાંચોટ ચોકડી પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે પૂરઝડપે આવી બસના આગળના ભાગે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર કંડક્ટર પંકજકુમાર રાધુભાઈ મુનિયાને મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણ્યો ટ્રક ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. બસના ડ્રાઈવર અરવિંદકુમાર અસોડાએ આ અંગે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
પ્રેમલગ્નના પવિત્ર બંધનને જ્યારે લાલચ અને દગો ઘેરી લે છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તેનો જીવતો જાગતો કિસ્સો મહેસાણા પંથકમાં સામે આવ્યો હતો. જે યુવક સાથે જીવવા-મરવાના સોગંદ ખાઈને મહિલાએ સંસાર માંડયો હતો, એ જ પતિ હવે બીજી યુવતીના મોહમાં પત્નીને ‘દસ લાખ આપી છૂટાછેડા' લેવા દબાણ કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પત્નીને છોડી પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો મહેસાણા પંથકની આ મહિલાની બહેને અગાઉ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા.તે જ ગામના એક અન્ય જ્ઞાતિના યુવક સાથે મહિલાને પ્રેમ થતા બંનેએ લગ્ન કર્યા હતા. સુખદ દામ્પત્ય જીવનના દસ વર્ષ વીતી ગયા હતા અને તેમને આંગણે પાંચ વર્ષની માસૂમ દીકરી પણ રમી રહી હતી. જોકે, દસ વર્ષના આ મજબૂત ગણાતા સંબંધોમાં ત્યારે તિરાડ પડી જ્યારે પતિને પોતાના જ સમાજની એક અન્ય યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા જ ઘરમાં પત્ની પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દેવાયું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે સાસુ અને પતિએ સાથે મળીને પરિણીતાને આજીજી કરવાને બદલે ધમકાવવાનું શરૂ કર્યું. સાસુ અને પતિએ પત્નીને સ્પષ્ટ કહી દીધું કે, 'અમારે ઘરમાં પ્રેમિકાને લાવવી છે, તું આ ઘર છોડી દે. અમે તને 10 લાખ રૂપિયા આપીશું, બસ તું છૂટાછેડા આપી દે.' પોતાના જ ઘરમાં પારકી બની ગયેલી મહિલાએ હિંમત હાર્યા વગર 181 અભયમ હેલ્પલાઇન અને 112 ની મદદ માંગી હતી. 181ની સમજાવટ બાદ પણ સાસરિયાઓ ટસના મસ ન થયાઅભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે સાસરિયાઓને કાયદાનું ભાન કરાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે પત્નીને આ રીતે કાઢી મૂકવી એ ગુનો છે. અભયમ ટીમની લાંબી સમજાવટ છતાં પતિ અને સાસુ પોતાની જિદ પર અડગ રહ્યા હતા અને પત્નીને સ્વીકારવા તૈયાર નહોતા. અંતે, કોઈ રસ્તો ન જણાતા અભયમની ટીમે મહિલાને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડયું હતું. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં મહિલાએ પોતાના જ પતિ અને સાસુ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી ન્યાયની ગુહાર લગાવી હતી.
રાજુલામાં 45 તળાવ ઊંડા કરાશે:ધારાસભ્ય હીરા સોલંકીએ સ્વ. ખોડાબાપા ટ્રસ્ટના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું
અમરેલી જિલ્લામાં જળ સંરક્ષણ અભિયાન હેઠળ રાજુલામાં 45 તળાવો અને ચેકડેમોને ઊંડા કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્વ. ખોડાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ, રાજુલા અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ, રાજુલા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં વધતી જતી પાણીની સમસ્યાનો કાયમી અને અસરકારક ઉકેલ લાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજુલા અને જાફરાબાદ તાલુકાના વિવિધ ગામોમાં નાના-મોટા તળાવો અને ચેકડેમોને ઊંડા ઉતારવામાં આવશે. ધારાસભ્ય હીરા સોલંકીના માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ કાર્યોનું આજે તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી જળસ્તર ઊંચા લાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે જળ સંરક્ષણ માટે કરવામાં આવતી વિવિધ યોજનાઓને પ્રોત્સાહન આપવા બદલ ધારાસભ્ય હીરા સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જીગ્નેશ પટેલ, મયુર દવે, રાજુ પડસાલા, રમેશ ડોબરીયા, વિજય કોટીલા, આનંદ ભટ્ટ, કરશન ચૌહાણ, રવુ ખુમાણ, હરસુર લાખણોત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માલધારી સમાજ, વેપારી સમાજ, તાલુકા સંઘ, મજૂર સંઘ અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાયા બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ એ આજે વહેલી સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક બોલાવી જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ અંગે વિશેષ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. સપ્લાય ચેન વધુ મજબૂત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગેસ,. ખાતર, પેટ્રોલ અને ડીઝલ જેવી જરુરી વસ્તુની કોઈ તંગી નથી- સંઘવીરાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેસ, ખાતર, પેટ્રોલ અને ડીઝલ જેવી જરૂરી વસ્તુઓની કોઈ તંગી નથી. ગુજરાતમાં 1.28 કરોડ LPG ગ્રાહકોને સતત ગેસ પુરવઠો આપવામાં આવશે. ગેસ કનેક્શન આપવા માટે 50થી વધુ ટીમો કાર્યરત છે અને CNG સ્ટેશનો પણ નિયમિત રીતે કાર્યરત છે. તે ઉપરાંત કોમર્શિયલ કનેક્શનને PNGમાં રૂપાંતરિત કરવા દિશામાં પણ ઝડપી કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં પહેલેથી જ 23 ટકા PNG ગેસ વિતરણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા અફવાઓ ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કાળા બજાર અને અફવા ફેલાવવાના કેસમાં 17 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક માહિતી પર સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે. શ્રમિકોને ધ્યાનમાં રાખીને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગ એકમોને પગાર વહેલો આપવા અને કામદારો માટે જમવાની સુવિધા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લા અને મહાનગરપાલિકામાં સંકલન સમિતિઓ રચવામાં આવશે. LPG ગેસ સંબંધિત અંદાજે 10 હજાર ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેના નિવારણ માટે તંત્ર કાર્યરત છે. અંતમાં સરકારે નાગરિકોને અપીલ કરી છે કે “લોકડાઉન જેવી અફવાઓથી ડરશો નહીં અને અફવા ફેલાવનારાઓનો સામાજિક બહિષ્કાર કરો.”
જૂનાગઢ જિલ્લા માટે ગત શુક્રવાર જાણે કાળમુખો સાબિત થયો હોય તેમ અલગ-અલગ ત્રણ તાલુકાઓમાં બનેલી દુખદ ઘટનાઓએ સમગ્ર પંથકને હિબકે ચડાવ્યો છે. વિસાવદરના હસનાપુરમાં એક માસૂમ બાળકનું પાણીના કુંડામાં ડૂબી જવાથી, માણાવદરના જીંજરી ગામે પિતાને પાણી પાવા ગયેલા યુવાનનું વીજ કરંટથી અને બાંટવાના પાજોદ ગામે અન્ય એક 2 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જવાથી મૃત્યુ નિપજતા ભારે શોક વ્યાપી ગયો છે. આ ત્રણેય બનાવોમાં આશાસ્પદ જીંદગીઓ અકાળે હોમાઈ ગઈ છે,અકસ્માતો અને અણધાર્યા વીજ કરંટના આ બનાવોએ અનેક પરિવારોના કુળદીપકો બુઝાવી દીધા છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. વિસાવદર તાલુકાના હસનાપુર ગામની સીમમાં બનેલી પ્રથમ ઘટનાએ પિતૃત્વ અને વાત્સલ્યને હચમચાવી દીધું છે. હસનાપુર ગામમાં રામ મંદિર પાસે રહેતા નિલેશભાઈ પારડીયા ઉનાળુ સીઝનમાં પોતાના ખેતરમાં તલનું નિંદામણ કરવા માટે ગયા હતા. તેમની સાથે તેમનો માત્ર 2 વર્ષનો વહાલસોયો પુત્ર અંશ પણ ખેતરમાં રમવા માટે ગયો હતો. પિતા જ્યારે ખેતીકામમાં મગ્ન હતા, ત્યારે નાનો અંશ ખેતરમાં આસપાસ રમી રહ્યો હતો. કમનસીબે રમતા-રમતા આ માસૂમ બાળક ખેતરમાં જ આવેલા પાણીના સંગ્રહ માટેના કુંડા પાસે પહોંચી ગયો હતો. કોઈનું ધ્યાન ન હોવાથી અચાનક અંશનું સંતુલન બગડ્યું અને તે સીધો પાણી ભરેલા કુંડામાં ખાબક્યો હતો. પિતા જ્યારે પોતાના કામમાંથી પરવારીને જોયું ત્યારે તેમનો લાડકવાયો કુંડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. માસૂમ અંશના અકાળે અવસાનથી હસનાપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિસાવદર પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ જ દિવસે બીજી એક કરુણ ઘટના માણાવદર તાલુકાના જીંજરી ગામે બની હતી, જ્યાં પિતાની તરસ છિપાવવા ગયેલા પુત્રને કાળ આંબી ગયો હતો.જીંજરી ગામના વતની ચંદ્રકાંતભાઈ ગેડા ગામમાં એક મકાનની અગાશી પર મજૂરી કામ કરી રહ્યા હતા. ઉનાળાના બપોરે પિતાને પાણીની જરૂર પડતા તેમનો 18 વર્ષનો પુત્ર તુષાર ગેડા પાણીનો લોટો લઈને અગાશી પર પહોંચ્યો હતો. તેને જરા પણ અંદાજ નહોતો કે અગાશીની અત્યંત નજીકથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈન તેના માટે જીવલેણ સાબિત થશે. તુષાર જેવો અગાશી પર પહોંચ્યો કે તરત જ તેનો સંપર્ક વીજ લાઈન સાથે થઈ ગયો હતો અને જોરદાર કરંટ લાગતા તે ફંગોળાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા અને ઇલેક્ટ્રિક શોક લાગેલા તુષારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી ગેડા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર જીંજરી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જિલ્લામાં ત્રીજો બનાવ બાંટવા પોલીસ મથક હેઠળના પાજોદ ગામની વાડીમાં બન્યો હતો, જેમાં અન્ય એક 2 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની રવિભાઈ સૂર્યવંશી પાજોદમાં ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે જ્યારે બાળકના મામા ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમનો ૨ વર્ષનો ભાણેજ અરવિંદ નજીકમાં રમી રહ્યો હતો. રમતા-રમતા અરવિંદ અચાનક વાડીમાં આવેલા પાણીના ટાંકામાં પડી ગયો હતો. ટાંકામાં પાણી વધુ હોવાથી માસૂમ અરવિંદ ગૂંગળાઈ ગયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રથી રોજીરોટી માટે આવેલા આ ગરીબ પરિવારનો માસૂમ પુત્ર આ રીતે અકાળે અવસાન પામતા વાડી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. બાંટવા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે. એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ સર્જાયેલી આ દુર્ઘટનાઓએ રક્ષણ અને સાવચેતીના પાઠ ભણાવ્યા છે. પાણીના ખુલ્લા ટાંકા, કુંડા અને રહેણાંક મકાનોની નજીકથી પસાર થતી જોખમી વીજ લાઈનો ગમે ત્યારે જીવલેણ બની શકે છે તે આ બનાવો પરથી સ્પષ્ટ થાય છે. ખેતરમાં કે ઘર પાસે રમતા નાના બાળકો પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે તે પણ આ હૃદયદ્રાવક કિસ્સાઓ શીખવે છે. આ ત્રણેય પરિવારોમાં જે ખોટ પડી છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી. જિલ્લામાં બનેલા આ કાળમુખા શુક્રવારે ત્રણ પરિવારોના માળા વિખેરી નાખ્યા છે.
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા (ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ) શાખા દ્વારા માંજલપુર પાણીની ટાંકી ખાતે નવું ફલો મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે આગામી 30 માર્ચના રોજ સાંજના સમયે પાણી પુરવઠો નહી મળી શકે. મુખ્ય ફીડર લાઇન ઉપર ફલો મીટર લગાવાશેમાંજલપુર પાણીની ટાંકી પર આવતી 600 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઈન ઉપર નવું ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેકનિકલ કામગીરીને પરિણામે નિર્ધારિત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે અથવા અનિયમિત રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા માંજલપુર વિસ્તારના લોકોએ પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે. 30 માર્ચે સાંજે અને 31 મી સવારે અસરઆ કામગીરી તારીખ 30 માર્ચ, 2026 ના રોજ સવારના ઝોનનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. આ મેન્ટેનન્સ કાર્યને કારણે તારીખ 30 માર્ચના રોજ સાંજના સમયે માંજલપુર ટાંકી હેઠળ આવતા વિવિધ ઝોનમાં પાણી પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં. ખાસ કરીને સાંજે 5:30 થી 6:30 અને રાત્રે 7:00 થી 8:00 વાગ્યાના સ્લોટમાં જે વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે, ત્યાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આથી, ગૃહિણીઓ અને સ્થાનિક રહેવાસીઓએ સાંજની જરૂરિયાતો માટે અગાઉથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. માત્ર સાંજ જ નહીં, પરંતુ બીજા દિવસે એટલે કે તારીખ 31 માર્ચ, 2026 ના રોજ પણ પાણી વિતરણમાં તેની અસર જોવા મળશે. કામગીરી લાંબી ચાલવાની શક્યતાને જોતા 31 તારીખે સવારના સમયે પાણી વિતરણમાં વિલંબ થઈ શકે છે. આ ઉપરાંત, ટેકનિકલ સંતુલન જાળવવા માટે પાણી ખૂબ જ હળવા દબાણથી (Low Pressure) આપવામાં આવશે. પાલિકા તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ અગવડતા બદલ સહકાર આપે અને પાણીનો અગાઉથી પૂરતો સંગ્રહ કરી રાખે જેથી દૈનિક કાર્યોમાં કોઈ વિક્ષેપ ન પડે.
હીરાનગરી સુરતના નાગરિકોને આગામી 1 અને 2 એપ્રિલના દિવસે પાણી કાપની સમસ્યાનો કરવો પડશે. સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા શહેરની મુખ્ય જળ વિતરણ લાઈનમાં મોટા પાયે રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. દિલ્હી ગેટ પાસે આવેલી 1524 મી.મી. વ્યાસની વિશાળ એમ.એસ. લાઈનમાં સર્જાયેલા લીકેજને રિપેર કરવા માટે પાલિકાએ 36 કલાક સુધીનો પાણી કાપ જાહેર કર્યો છે. આ કામગીરીને કારણે સેન્ટ્રલ, લિંબાયત, ઉધના અને અઠવા ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ અથવા નહિવત રહેશે. લીકેજ રિપેરીંગ કરવા માટે પાણી સપ્લાય બંધ રહેશેસુરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, કતારગામ જળ શુદ્ધિકરણ પ્લાન્ટથી આવતી 1524 મી.મી. વ્યાસની મુખ્ય લાઈન કે જે શહેરના દક્ષિણ અને મધ્ય ભાગોને પાણી પહોંચાડે છે, તેમાં દિલ્હી ગેટ પાસે ગંભીર લીકેજ જોવા મળ્યું છે. જો આ લીકેજને સમયસર રિપેર કરવામાં ન આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અથવા હજારો ગેલન પાણીનો વ્યય થઈ શકે છે. કયા વિસ્તારમાં ક્યારે પાણી વિતરણ બંધ રહેશેઆ કામગીરી 1 એપ્રિલ 2026 બુધવારના રોજ સવારે 09:30 વાગ્યાથી શરૂ કરવામાં આવશે, જે 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ સવારે 08:00 વાગ્યા સુધી સતત ચાલશે. આ સમયગાળા દરમિયાન સંબંધિત જળ વિતરણ મથકોની ટાંકીઓ ભરી શકાશે નહીં, જેના પરિણામે લાખો લોકોના નળ સુકા રહેશે. સાઉથ ઝોન ઉધના-એને સૌથી વધુ અસર થશેઉ ધના ઝોનમાં ત્રણ મુખ્ય જળ વિતરણ મથકો - ચીકુવાડી, પાંડેસરા અને ખટોદરા પ્રભાવિત થશે. 1 એપ્રિલ સાંજનો સપ્લાય જુના બમરોલીના અપેક્ષા નગર, હરીઓમ નગર, પુનિત નગર, દેવી દર્શન સોસાયટી, જય જવાન જય કિશાન સોસાયટી તેમજ ગોવાલક વિસ્તારના અંબિકા નગર, આશાપુરી સોસાયટી, દેવેન્દ્ર નગર, ગણપત નગર અને કરશન નગરમાં પાણી નહીં આવે. 2 એપ્રિલ સવારનો સપ્લાય પાંડેસરા ગામતળ, આવિર્ભાવ સોસાયટી, કૈલાશ નગર, ભેસ્તાન અને પાંડેસરા GIDC વિસ્તારમાં સંપૂર્ણ પાણી કાપ રહેશે. ખટોદરા જળ વિતરણ મથક હેઠળના ગાયત્રીનગર, શાંતિનગર, હરીનગર અને ઉધના ગામ તળ વિસ્તારમાં પણ પાણી બંધ રહેશે. સાઉથ-ઈસ્ટ ઝોન લિંબાયત વિસ્તારના મધ્યમ અને શ્રમજીવી વર્ગના વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ શકે છે. 1 એપ્રિલ સાંજનો સપ્લાય ભાઠેના વિસ્તાર, સલીમનગર, EWS કવાર્ટ્સ, જવાહરનગર, નહેરૂનગર, લો-કાસ્ટ કોલોની, ચીમનીનો ટેકરો અને ઇસ્લામપુરામાં પાણી પુરવઠો ખોરવાશે. 2 એપ્રિલ સવારનો સપ્લાય ભાખડ માહોલ, રાહત કોલોની અને પમ્પિંગ સ્ટેશનની આજુબાજુની ગલીઓમાં પાણી આવશે નહીં. સેન્ટ્રલ ઝોન શહેરના હૃદય સમાન ગણાતા કોટ વિસ્તારમાં પણ લાલ દરવાજા જળ વિતરણ મથકથી અપાતો પુરવઠો પ્રભાવિત થશે. 1 એપ્રિલ સાંજનો સપ્લાય દિલ્હી ગેટથી ચોક બજાર સુધીનો ઉત્તર વિભાગ, મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા અને નાણાંવટ વિસ્તારમાં પાણી અલ્પ માત્રામાં અથવા ઓછા પ્રેશરથી મળશે. સુમુલ ડેરી અને રેલ્વે સ્ટેશન જેવા મહત્વના સ્થળોએ પણ અસર થશે. 2 એપ્રિલ સવારનો સપ્લાય બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા અને નાનપુરા જેવા દક્ષિણ વિભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો અવરોધાય તેવી શક્યતા છે. સાઉથ વેસ્ટ ઝોન અઠવા ઝોનમાં અઠવા જળ વિતરણ મથકથી આપવામાં આવતો સવારનો પુરવઠો (સમય 05 થી 08) ખાસ કરીને ઉધના મગદલ્લા રોડ, ભટાર રોડ અને રૂપાલી કેનાલ વિસ્તારમાં પ્રેશરની સમસ્યા રહેશે. નાગરિકોને બે દિવસ માટે જરુરી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલસુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગે નાગરિકોને અગાઉથી જાણ કરી છે કે તેઓ આ બે દિવસ માટે જરૂરી પાણીનો સંગ્રહ કરી લે. ઉનાળાની શરૂઆત થઈ રહી હોવાથી પાણીનો વપરાશ વધ્યો છે, ત્યારે આ કાપ નાગરિકો માટે કપરો સાબિત થઈ શકે છે. નાગરિકોએ 31 માર્ચની રાત સુધીમાં ઘરની ટાંકીઓ સંપૂર્ણ ભરી લેવી. નહાવા, કપડાં ધોવા કે સફાઈમાં બિનજરૂરી પાણીનો બગાડ ટાળવો. આ રિપેરીંગ કામગીરી 2 એપ્રિલની સવાર સુધીમાં પૂર્ણ થવાની આશા છે, ત્યારબાદ ધીમે ધીમે પાણીનું પ્રેશર સામાન્ય થશે. શહેરના પૂર્વ અને ઉત્તર ઝોન વરાછા, કતારગામમાં આ કાપની અસર નહીંવત રહેશે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલા ટીમો પણ મેદાનમાં ઉતરી છે. પ્રારંભ સમારોહ દરમિયાન જિલ્લા કલેક્ટરે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ ટીમવર્ક, નેતૃત્વ અને સંકલનના ગુણો વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. કલેક્ટરે ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગોની ટીમો ભાગ લઈ રહી છે. ખાસ કરીને, પ્રથમ વખત વિવિધ વિભાગોની મહિલા ટીમો પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, જે એક નોંધપાત્ર પહેલ છે. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, ડીસીએફ રૂપક સોલંકી, એસીએફ ફતેસિંહ મીના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાને મોટી સફળતા મળી છે. મોરવા (હડફ) તાલુકાના સંતરોડ પાસે હાઈવે પર નાકાબંધી દરમિયાન, મકાઈની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ ₹39.96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. પંચમહાલ ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને એસ.પી. ડૉ. હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલની ટીમે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. આ દરમિયાન ASI નાદીરઅલી નિઝામુદ્દીનને ચોક્કસ બાતમી મળી હતી કે, એક એલ.પી. ટ્રક (GJ-05-AT-1848) માં મકાઈની આડમાં દારૂનો જથ્થો દાહોદથી ગોધરા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે સંતરોડ ગામે આદ્યા હોટલ સામે હાઈવે પર નાકાબંધી કરવામાં આવી હતી. શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા ઉપરના ભાગે મકાઈની બોરીઓ ભરેલી હતી, પરંતુ તેની નીચે તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹39,49,084/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ૯૩૬૦ નંગ વિદેશી દારૂ અને બીયર (કિંમત ₹28,69,584/-), એક ટાટા એલ.પી. ટ્રક (કિંમત ₹10,00,000/-), ૧૦૦ નંગ મકાઈની બોરીઓ (કિંમત ₹70,000/-) અને ₹9,500/- રોકડ તથા મોબાઈલનો સમાવેશ થાય છે. આ ગુનામાં પોલીસે ઈરફાનખાન સલીમખાન (રહે. નપાવલી, જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન) નામના શખ્સની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ મોરવા (હડફ) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 29 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા યોજાશે. કુલ 3071 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રો પર આ પરીક્ષા આપશે, જેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પરીક્ષાને લઈને તમામ 16 કેન્દ્રો પર બ્લોકમાં બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં 20 બ્લોકમાં 400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યાં શનિવારે બેઠક નંબર લખવામાં આવ્યા હતા. આચાર્ય દ્વારા શિક્ષકો સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન લેવાશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ગ્રુપ-A માં 914, ગ્રુપ-B માં 2145 અને ગ્રુપ AB માં 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. માધ્યમ મુજબ, 2506 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અને 564 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપશે. તમામ 16 પરીક્ષા કેન્દ્રોના 157 બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે.
છોટાઉદેપુર વન વિભાગે વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા કરી:ઉનાળામાં જંગલના કુંડ અને વોટર પોઈન્ટ્સ ભરાયાં
છોટાઉદેપુર જિલ્લામાં કાળઝાળ ઉનાળા વચ્ચે વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે પાણીની ખાસ વ્યવસ્થા કરી છે. જંગલ વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ પાણીના કુંડ અને વોટર પોઈન્ટ્સ દ્વારા રીંછ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓને રાહત મળી રહી છે. વન વિભાગ ઉનાળાની તીવ્ર ગરમીમાં પ્રાણીઓ તરસ્યા ન રહે તે માટે સતત પાણી ભરાવવાની કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં ઉનાળાની ગરમીનો પ્રકોપ વધતા તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આના કારણે જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે પાણીનો પ્રશ્ન ઊભો થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગે આગોતરું આયોજન કરીને જંગલોમાં પાણીની વ્યવસ્થા ગોઠવી છે. જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારોમાં કૃત્રિમ પાણીના કુંડ, સિમેન્ટના તળાવ અને વોટર પોઈન્ટ્સ તૈયાર કરાયા છે. ટેન્કર મારફતે આ પાણીના સ્ત્રોતોમાં નિયમિતપણે પાણી ભરવામાં આવે છે, જેથી જંગલના પ્રાણીઓને તરસથી બચાવી શકાય. વન વિભાગના આ પ્રયાસથી ઉનાળાના કપરા સમયમાં વન્યજીવોને મોટી રાહત મળી રહી છે. ખાસ કરીને રીંછ, દીપડા, હરણ, સસલા અને અન્ય જંગલી પ્રાણીઓ માટે આ પાણીના કુંડ જીવનદાતા સાબિત થઈ રહ્યા છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉનાળાની સમગ્ર સીઝન દરમિયાન આ કામગીરી સતત ચાલુ રહેશે. જ્યાં પાણીની વધુ જરૂરિયાત હશે, ત્યાં વધારાના ટેન્કર અને નવી પાણી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને જીવન બચાવવા માટે વન વિભાગ સજ્જ છે.
સિંહ બાળનું માતા સાથે મિલન:વેરાવળના રામપરા ગામે કૂવામાંથી સિંહ બાળાને બચાવાયું
ગીર સોમનાથ વન વિભાગે વેરાવળના રામપરા ગામે કૂવામાંથી બચાવેલા સિંહ બાળનું તેની માતા સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું છે. આ સિંહ બાળને આજે સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ, વેરાવળ રેન્જ હેઠળના રામપરા ગામમાં ખેડૂત સરમણભાઈ લખમણભાઈ રાઠોડના કૂવામાં આશરે 1 વર્ષની ઉંમરનું એક સિંહ બાળ અકસ્માતે પડી ગયું હતું. વન વિભાગને જાણ થતાં જ વનપાલ, વનરક્ષકો અને ટ્રેકર્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહ બાળને તાત્કાલિક સારવાર અર્થે જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેની જરૂરી સારવાર કરવામાં આવી હતી. ગીર સોમનાથ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ સિંહ બાળ બે દિવસ અગાઉ વેરાવળના રામપરા ગામે કૂવામાં પડ્યું હતું. સારવાર અને દેખરેખ બાદ તેને તેની માતા સાથે ફરીથી ભેળવી દેવામાં આવ્યું છે.
SOGએ ડી.કે.વી. કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ કર્યો:વિદ્યાર્થીઓને નશાના દુષણથી બચાવવા સમજ અપાઈ
જામનગર SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા શહેરની ડી.કે.વી. કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાના દુષણથી બચાવી તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો હતો. આ સેમિનારમાં ડી.કે.વી. કોલેજના આશરે 70 વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ જોડાયા હતા. SOG ટીમે તેમને NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) કાયદા વિશે માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓને અફીણ, ગાંજો, ચરસ, બ્રાઉન સુગર અને હેરોઈન જેવા નાર્કોટિક્સ પદાર્થોના જોખમો વિશે સમજાવવામાં આવ્યું. તેમને નશાની બદીથી દૂર રહેવા અને તેનાથી થતા વ્યક્તિગત તેમજ પારિવારિક પતનને રોકવા માટે જાગૃત કરાયા. SOG ટીમે ભારપૂર્વક જણાવ્યું કે આવા કેફી દ્રવ્યોનો એક-બે વારનો ઉપયોગ પણ વ્યક્તિને આજીવન બંધાણી બનાવી શકે છે, જેના પરિણામે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ પણ ધકેલાઈ શકે છે. આ ઉપરાંત, સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી બાબતો અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. ટીમે વિદ્યાર્થીઓને જાગૃત નાગરિક તરીકેની તેમની ફરજ સમજાવી. તેમને અપીલ કરવામાં આવી કે નશાના બંધાણીઓ ઘણીવાર આર્થિક લાભ માટે નવા વિદ્યાર્થીઓને ફસાવવાનો પ્રયાસ કરે છે. આવા માદક દ્રવ્યોનું વેચાણ કરતા અસામાજિક તત્વોને ખુલ્લા પાડવા અને કોલેજ કેમ્પસ કે આસપાસ થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ તાત્કાલિક પોલીસને કરવી. પોલીસ દ્વારા માહિતી આપનાર નાગરિકની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ અસંતોષ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. સરકાર દ્વારા 3 મહિના પહેલા ખેડૂતોની 14 માંગણીઓ સ્વીકારીને તેને ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિએ માત્ર એક જ માંગણીનો અમલ થયો છે, જ્યારે બાકી 13 માંગણીઓ હજુ પણ વણઉકેલાયેલી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે આક્ષેપ કર્યો છે કે સરકારની ખાતરીઓ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. અનેક રજૂઆતો છતાં ખેડૂતોના મૂળ પ્રશ્નો હજી યથાવત છે. હવે ખેડૂતો સીધા વડાપ્રધાન સુધી મુદ્દો લઈ જવાની તૈયારીમાં છે. સરકારે સ્વીકારેલી ખેડૂતોની માંગણીઓ નીચે મુજબ છે, પરંતુ તેમાં અમલ ન થતા ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. (1) વડીલોપાર્જીત મિલકતમાં આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવી – આ માંગણી પર સરકારે જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેનો વ્યાપક લાભ હજી જમીન સ્તરે મળતો નથી. (2) ગૌચર અને સરકારી જમીનની માપણી કરીને દબાણો દૂર કરવી, ફેન્સીંગ કરાવવી તથા નગરપાલિકા-તાલુકા પંચાયત દ્વારા ડેવલોપમેન્ટ માટે ગ્રાન્ટ આપવી અને રી-સર્વેના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવો. (3) સૌની યોજના, સુજલામ સુફલામ અને અન્ય પાઈપલાઈન દ્વારા વધુમાં વધુ તળાવો ભરવા, હાઈકંટ્રોલ કેનાલને આગળ વધારવી, કચ્છના નખત્રાણા, લખપત, અબડાસા જેવા વિસ્તારોમાં પાણી પહોંચાડવું, મંજૂર થયેલા એમ.એફ. પાણીના કામમાં ગતિ લાવવી અને બાકી પાણીની વહીવટી મંજૂરી આપવી, તેમજ નદીઓ પર ચેકડેમ બનાવવો (જેમ કે બનાસ નદી પર દર 10 કિ.મી.). (4) ટોલટેક્સ બૂથ નજીક રહેતા લોકોને થતી હેરાનગતિ દૂર કરવી. (5) ફુવારા અને ડ્રીપ ઈરીગેશનમાં 80% સબસીડી આપવી. (6) ટ્રેક્ટરની ટ્રોલીને 5 વર્ષ સુધી પાસીંગમાંથી મુક્તિ આપવી. (7) વીજ ટાવર લાઈનના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવી જમીન માટે યોગ્ય વળતર ચૂકવવા પોલિસી બનાવવી. (8) રાસાયણીક ખાતરની વિતરણ વ્યવસ્થામાં સુધારા માટે નવી પોલિસી અમલમાં મૂકવી. (9) તાર ફેન્સીંગ સબસીડીમાં વધારો કરી વધુ ખેડૂતોને લાભ મળે તેવું કરવું. (10) દેશી બીજ અને દેશી કપાસના વાવેતરને પ્રોત્સાહન આપતી યોજનાઓ જાહેર કરવી. (11) વન વિભાગ દ્વારા રેવન્યુ જમીનને વનમાં સમાવેશ કરવાની પ્રક્રિયા અટકાવવી, ગીર સોમનાથના 14 સેટલમેન્ટ ગામોને રેવન્યુમાં સમાવેશ કરવો અને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથના ઈકોઝોન વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા બેઠક યોજવી. (12) ખાનગી કૃષિ કોલેજોમાં આઈ.સી.આર.ના નિયમોનું કડક પાલન કરાવવું અને નિયમોનું ઉલ્લંઘન કરતી કોલેજો બંધ કરવી. (13) 3 થી 5 લાખ સુધીના ધિરાણનો અમલ કેન્દ્ર સરકારની યોજના લાગુ થયા બાદ તાત્કાલિક કરવો. (14) બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓ અને ખેડૂતો વચ્ચેના ભાવ વિવાદ અંગે ઉચ્ચ કક્ષાએ બેઠક કરીને ઉકેલ લાવવો. ખેડૂતોનું કહેવું છે કે, એકાદ જાહેરાતોથી પ્રશ્નો હલ થતા નથી. બાકી રહેલી માંગણીઓ પર તાત્કાલિક અમલ જરૂરી છે, નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂતો હવે રાહ જોવાના મૂડમાં નથી. સરકાર સમયસર પગલાં નહીં ભરે તો આ મુદ્દો રાજ્યમાંથી કેન્દ્ર સુધી ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.
1 લાખ સામે 4.88 લાખ ચૂકવ્યા:મોરબીના ટાઇલ્સ વેપારીને વ્યાજખોરની જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં એક ટાઇલ્સ વેપારી વ્યાજખોરના ચુંગાલમાં ફસાયા છે. તેમણે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે કુલ 4.88 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ મામલે વેપારી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ અંગે મોરબીના દલવાડી સર્કલ પાસે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા 48 વર્ષીય ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે દલવાડી સર્કલ પાસે રહેતા પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ સામે આ ફરિયાદ કરી છે. ભરતભાઈએ પોલીસને જણાવ્યું કે, વર્ષ 2022માં તેમને ધંધા માટે પૈસાની જરૂર પડતાં પ્રકાશભાઈ પાસેથી 8 ટકાના વ્યાજે 1 લાખ રૂપિયા લીધા હતા. તે સમયે આરોપીએ વધુ પૈસા પડાવવાના ઇરાદે તેમની પાસેથી 3 લાખ રૂપિયાનું નોટરી લખાણ અને IDBI બેંકના ત્રણ ચેક બળજબરીપૂર્વક લઈ લીધા હતા. ફરિયાદીએ વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ 4,88,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, પ્રકાશભાઈ તેમની પાસેથી વધુ પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. પ્રકાશભાઈએ ભરતભાઈના દીકરા ભવ્યને ફોન કરીને ગાળો આપી હતી અને વ્યાજ નહીં ભરે તો માર મારવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, ભરતભાઈને પણ વ્યાજ સહિત મૂળ રકમ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી પ્રકાશભાઈ પીઠમલ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં હાલમાં જ ગાજેલા બળાત્કારના એક કિસ્સાએ નવો વળાંક લીધો છે. પૂર્વ શિક્ષિકા અને કથિત પ્રેમિકા દ્વારા જેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તે આરોપી ધ્રુવલ દેસાઈએ વારાણસીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ધ્રુવલની પત્ની સાક્ષી દેસાઈ અને તેના પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી જઈ રજૂઆત કરી છે અને સમગ્ર મામલે ન્યાયની માંગણી કરી છે. પત્ની સાક્ષી દેસાઈએ પોતાના પતિ ધ્રુવલ દેસાઈ પર થયેલા આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે શિક્ષિકા અર્ચના જોશીએ નોંધાવેલી ફરિયાદ તદ્દન ખોટી છે અને આ બદનામીના કારણે જ ધ્રુવલે વારાણસીમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, અર્ચના જોશીએ લગ્નના ખોટા વાયદાના આક્ષેપો કર્યા હતા જે પાયાવિહોણા છે, કારણ કે અર્ચના જોશી પોતે પરિણીત અને ડિવોર્સી છે તથા તેમને 17 વર્ષનો દીકરો પણ છે. વધુમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે અર્ચના જોશીની માંગણી મુજબ નાણાંની ચૂકવણી પણ કરી હતી, તેમ છતાં સોશિયલ મીડિયામાં આ વિગતો વાયરલ કરીને પરિવારને બદનામ કરવામાં આવ્યો હતો. આ માનસિક દબાણ હેઠળ જ પતિ 2 દિવસથી લાપતા હતા અને અંતે આત્મઘાતી પગલું ભર્યું છે. તેમણે પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે તેમના પક્ષના પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવે અને આ સમગ્ર ઘટના માટે જવાબદાર અર્ચના જોશી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. નાણાકીય લેતીદેતીના પુરાવા પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે તેમના પક્ષના પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવે. સાક્ષી દેસાઈએ જણાવ્યું કે તેમણે અગાઉ અર્ચના જોશીને રૂ. 4,00,000 અને અન્ય એક સમયે રૂ. 40,000 એમ ઓનલાઇન પેમેન્ટ પણ કર્યું હતું. પરિવારે દાવો કર્યો છે કે તેમણે સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા અને પોલીસની હાજરીમાં પણ વાતચીત કરવા તૈયાર હતા, પરંતુ સામે પક્ષે માત્ર એફ.આઈ.આર. કરવામાં જ રસ દાખવ્યો હતો. હાલમાં પોલીસે આ રજૂઆતને ધ્યાને લઈ આગળની તપાસ હાથ ધરી છે. એક તરફ બળાત્કારના આક્ષેપો છે તો બીજી તરફ આરોપી દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ પરિવારે લગાવેલા વળતા આક્ષેપોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ-જૂનાગઢ બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહેરના વ્યસ્ત ગણાતા બાયપાસ વિસ્તારમાં એક કાર ચાલકે મોટરસાઈકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે 80 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. છગનભાઈ ગજેરા (ઉંમર વર્ષ 80) પોતાના બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવતી એક કારના ચાલકે તેમને હડફેટે લીધા હતા. કારની ટક્કર વાગતા જ વૃદ્ધ ફંગોળાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ કમનસીબે વયોવૃદ્ધ છગનભાઈએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ કરુણ ઘટના અંગે મૃતક છગનભાઈના પુત્રએ કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કાર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો અને તેમના પિતાનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ કેશોદ પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 80 વર્ષીય વૃદ્ધના અકાળે અવસાનથી ગજેરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો અશ્લીલ વીડિયો બનાવી અન્ય મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે યુવકની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે. આરોપી સગીરાની બહેનપણીનો ભાઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. સગીરા સાથે અશ્લીલ કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ બનાવી લીધોમળતી માહિતી અનુસાર, ઈદ પહેલાં સગીરા પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. આ દરમિયાન બહેનપણીના ભાઈએ તેની સાથે અશ્લીલ કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ મોબાઇલમાં બનાવી લીધો હતો. ઘટનાને કેટલાક દિવસો બાદ આરોપીએ આ વીડિયો પોતાના એક મિત્રને બતાવ્યો હતો. બાદમાં આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. આરોપીએ અન્ય મિત્રને વીડિયો દેખાડતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યોવીડિયો જોતાં જ મિત્રને ખ્યાલ આવ્યો કે વીડિયોમાં દેખાતી બાળકી તેના મિત્રની બહેન છે. તેણે તરત જ આ સમગ્ર ઘટનાની જાણ ભોગ બનેલી સગીરાના ભાઈને કરી હતી. બાદમાં સગીરાના ભાઈએ તેની બહેન પાસેથી વિગતો જાણીને માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ પોલીસ તરત હરકતમાં આવી અને આરોપીને અટકાયતમાં લીધો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. માંજલપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીદુષ્કર્મ આચરનાર આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. પાડોશમાં રહેતી સગીરા વારંવાર તેના ઘરે આવતી હોવાથી તે તેના પર નજર રાખતો હતો અને આખરે તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. માંજલપુર પોલીસે સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1ના ઈ-ટાવરના 11મા માળે રહેતી 35 વર્ષીય પરિણીતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપાએ પોતાની ગેલરીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતી સંગીતાબેનને પેટમાં અસહ્ય ચાંદા પડી ગયા હતા, જેનાથી કંટાળીને આજે સવારે તેણીએ આ પગલું ભર્યું હતું. પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોત તરીકે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિણીતા 9 મહિનાથી પેટમાં ચાંદા પડ્યાની બીમારીથી પીડાતી હતીલક્ષ્મીપુરા રોડ સમતા પાસે આવેલ સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1 માં ઈ ટાવરમાં 11માં માળે રહેતી સંગીતાબેન પ્રિતેશભાઈ થાપા ( ઉંમર વર્ષ 35) ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. તેઓને પેટમાં ગંભીર રીતે ચાંદા પડી ગયા હતા અને અસહ્ય બીમારીથી પીડાતા હતા. આજે સવારે તેઓએ પોતાની ગેલરીમાંથી પડતું મૂક્યું હતી. ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરીઆ ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ પરિણીતાના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સવારે તડકામાં બેસવાનું દીકરાએ કહી નજર હટાવતા જ આ પગલું ભર્યુંઆ અંગે મૃતકના પરિવારજને જણાવ્યું કે, તે છેલ્લા નવ મહિનાથી બીમારીથી પીડાતી હતી. અવારનવાર અમે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા હતા. નવ મહિનાથી તે ઘરમાં છે અને મારો દીકરો પણ નોકરી છોડી ઘરે રહેતો હતો. સવારે તડકામાં બેસવાનું દીકરાએ કહેતા તે ગેલરીમાં બેસી અને મને જોવાનું કહ્યું હતું. હું ગઈ એટલામાં તો તેણે આ પગલું ભરી દીધું હતું.

27 C