SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

ખેલ મહાકુંભમાં વલસાડની લોન ટેનિસમાં નોંધપાત્ર સિદ્ધિ:ડૉ. મજુમદાર સેમીફાઇનલમાં, દર્નિશ ટંડેલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ–2025 અંતર્ગત ગાંધીનગરના સચિવાલય જીમખાના ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં વલસાડ જિલ્લાએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ 40+ કેટેગરીમાં રાજ્યભરમાંથી કુલ 34 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લામાંથી પ્રથમ વખત ભાગ લેનાર ડૉ. કિશોર કે. મજુમદારએ શાનદાર રમત પ્રદર્શિત કરીને સેમી ફાઈનલ સુધીનો સફર પૂર્ણ કર્યો હતો. તેમજ દર્નિશ ટંડેલ (શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ, વલસાડ) એ પણ ઉત્કૃષ્ટ દેખાવ સાથે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. વલસાડ જિલ્લાના ખેલાડીઓની આ સિદ્ધિથી જિલ્લાનું ગૌરવ વધ્યું છે અને લોન ટેનિસ પ્રત્યે રસ ધરાવતા યુવા ખેલાડીઓ માટે આ પ્રદર્શન પ્રેરણારૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 1:55 pm

27મીએ રામકથા મેદાનમાં અલ્પેશ ઠાકોરનું શક્તિપ્રદર્શન:પરોઢીયે ‘અભ્યુદય મહાસંમેલન’, તડામાર તૈયારીઓ; સામાજિક-રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પાટનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આગામી 27મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય’ નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન વહેલી સવારે 3 વાગ્યે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે. જેની હાલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મહાસંમેલનમાં સામાજીક-રાજકીય મુદ્દાઓની ચર્ચાની સંભાવનાગાંધીનગરના રામકથા મેદાન ખાતે આગામી 27મી જાન્યુઆરીના રોજ ‘અભ્યુદય’ નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સેનાની પ્રવૃત્તિઓ મધ્યમ ગતિએ ચાલી રહી હતી, પરંતુ હવે તેને ફરી એકવાર આક્રમક રીતે સક્રિય કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. થોડા વખત અગાઉ ગાંધીનગર ખાતે યોજાયેલી એક બેઠકમાં રાજ્યભરમાંથી 500થી વધુ હોદ્દેદારો અને 1000થી વધુ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી એક વર્ષનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઠાકોરનું શક્તિપ્રદર્શન ગુજરાતની રાજનીતિમાં ઠાકોર સમાજ એક નિર્ણાયક વોટ બેન્ક ગણાય છે. અગાઉ અનામત, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા મુદ્દે આંદોલનો કરીને અલ્પેશ ઠાકોરે રાજકીય સમીકરણો બદલ્યા હતા. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આ મહાસંમેલન યોજીને તેઓ ફરી એકવાર પોતાની સક્રિયતા સાબિત કરવાનો પ્રયાસ કરવાના હોવાનું રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરુ થયો છે. સરકારમાં સમાજને યોગ્ય સ્થાન મળે તેવી માગ પણ થઈ શકેનોંધનીય છે કે, અલ્પેશ ઠાકોર 2017માં કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ 2019માં ભાજપમાં જોડાયા હતા. જોકે, ઠાકોર સમાજની એવી લાગણી છે કે સરકારમાં સમાજના નેતૃત્વને હજુ પણ વધુ યોગ્ય અને અસરકારક સ્થાન મળવું જોઈએ. આગામી ‘અભ્યુદય’ સંમેલન દ્વારા અલ્પેશ ઠાકોર સમાજની આર્થિક મજબૂતી અને રાજકીય હિસ્સેદારી વધારવા માટે હૂંકાર કરી શકે છે. રામકથા મેદાનામાં તૈયારીઓ શરૂરામકથા મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ વ્યવસ્થાઓ પર નજર રાખવામાં આવી રહી છે. 27મી જાન્યુઆરીની વહેલી સવાર અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના માટે ભવિષ્યની રાજકીય દિશા નક્કી કરનારી સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 1:47 pm

પદ્મશ્રી શાહબુદીન રાઠોડનું જ મતદાર યાદીમાંથી નામ રદ!:ફોર્મ નંબર 7 ભરવા પાછળ કોનો હાથ?, તપાસ કર્યા વગર તંત્રએ પ્રક્રિયા કેવી રીતે આગળ વધારી?; કોંગ્રેસ આક્રમક

સુરેન્દ્રનગર અને ચોટીલા પંથકમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)ની કામગીરી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો છે કે, વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યું છે. આ ચોંકાવનારા દાવાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. શાહબુદીન રાઠોડના નામે રમત રમાયાનો દાવોકોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે કે એક પ્રતિષ્ઠિત નાગરિકનું નામ યાદીમાંથી દૂર કરવા માટે કોણે અરજી કરી અને તંત્રએ પ્રાથમિક તપાસ કર્યા વગર આ પ્રક્રિયાને કેવી રીતે આગળ વધારી? આ અંગે શાહબુદીન રાઠોડે જણાવ્યું હતું કે, કોઈએ તેમના નામે મતદાર યાદીમાંથી નામ રદ કરવા ફોર્મ નંબર 7 ભર્યું છે. આ બાબતે તેમણે મામલતદાર સાથે વાતચીત કરી છે. મામલતદારે તેમને ખાતરી આપી છે કે, કોઈ અન્ય વ્યક્તિ ફોર્મ નંબર 7 ભરે તો પણ પૂરતી તપાસ વગર નામ કમી થઈ શકે નહીં. કોંગ્રેસના મુખ્ય આક્ષેપોપૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. SIR કામગીરીમાં ગેરરીતિ: SIR હેઠળ જમીન સંપાદન અને વહીવટી પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને અનિયમિતતા હોવાનો આક્ષેપ. યાદીમાં છેડછાડનું ષડયંત્ર: મતદાર યાદી સુધારણાના બહાને વિરોધ પક્ષના ટેકેદારો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ રદ કરવાનું આયોજનબદ્ધ ષડયંત્ર. વહીવટી તંત્રની ભૂમિકા: સરકારી અધિકારીઓ સત્તાધારી પક્ષના દબાણમાં રહીને પક્ષપાતી કામગીરી કરી રહ્યા હોવાનો સુર. નાગરિકોને જાગૃત રહેવા અપીલઋત્વિક મકવાણાએ જનતાને અપીલ કરી છે કે દરેક નાગરિકે મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરી લેવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો પદ્મશ્રી સન્માન ધરાવતી વ્યક્તિનું નામ પણ જોખમમાં હોય, તો સામાન્ય નાગરિકના મતાધિકાર પર ગમે ત્યારે તરાપ મારી શકાય છે. આ ગંભીર આક્ષેપો બાદ હવે વહીવટી તંત્ર આ મામલે શું ખુલાસો કરે છે અને ફોર્મ નંબર 7 ભરનાર સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 1:46 pm

ગોધરામાં પરાક્રમ દિવસ નિમિત્તે જિલ્લા સ્તરીય ક્વિઝ:નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર 'ઓપરેશન સિંદૂર' વિષય પર સ્પર્ધા

ગોધરાની પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ 'પરાક્રમ દિવસ' નિમિત્તે જિલ્લા સ્તરીય ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય વિષય 'ઓપરેશન સિંદૂર' હતો. વિદ્યાલયના પ્રિન્સિપાલ રૂપ કિશોર ચૌધરીના નેતૃત્વ હેઠળ અને 'પરીક્ષા પે ચર્ચા'ના નવમા સંસ્કરણ અંતર્ગત આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દારુણિયા પંચમહાલ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય આશીફભાઈ મન્સૂરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જવાહર નવોદય વિદ્યાલય, એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલય, દિલ્હી પબ્લિક સ્કૂલ તેમજ અન્ય સરકારી શાળાઓના 10-10 વિદ્યાર્થીઓની ટીમોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના સમાપ્તિ બાદ વિજેતા સ્પર્ધકોને પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્વિઝ સ્પર્ધા ઉપરાંત, વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતોનું ગાયન, વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ અને યોગાભ્યાસનું પણ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના સમાપન પ્રસંગે પ્રિન્સિપાલ રૂપ કિશોર ચૌધરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આવા આયોજનોથી વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન, દેશભક્તિ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થાય છે. તેમણે ઉમેર્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના આદર્શો યુવા પેઢી માટે હંમેશા પ્રેરણાસ્રોત બની રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 1:33 pm

ગઢડા ઘેલો નદી કોઝવે રોડ 20 દિવસમાં બિસ્માર:નગરપાલિકાના કામ સામે સવાલ, નવા રોડની માગ

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદી પરના કોઝવે પર 20 દિવસ પહેલાં બનેલો સીસી રોડ બિસ્માર બન્યો છે. રોડ પરથી સિમેન્ટ ઉખડવા લાગી છે અને અંદરની ધૂળ દેખાઈ રહી છે. આ ઘટનાથી નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ કોઝવે લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ગઢડા નગરપાલિકા દ્વારા અંદાજે દસ લાખ રૂપિયાથી વધુના ખર્ચે 20 દિવસ પહેલા સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, માત્ર 20 દિવસમાં જ રોડ પરથી સિમેન્ટ અને ધૂળ ઉખડવા લાગી છે. આના પરથી રોડ બનાવવામાં સિમેન્ટનું પ્રમાણ ઓછું હોવાનું અને ગુણવત્તા નબળી હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગઢડા નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય કલ્પેશભાઈ ચાવડાએ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બોગસ કામ કરાયું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિક લોકો, જેમાં નિર્મળભાઈ રાઠોડનો પણ સમાવેશ થાય છે, તેમણે પણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને તાત્કાલિક નવો રોડ બનાવવાની માંગ કરી છે. આ અંગે ગઢડા નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ ખાચરે જણાવ્યું કે, તેમને મીડિયા દ્વારા આ બાબતની જાણ થઈ છે અને નગરપાલિકાના એન્જિનિયર દ્વારા તપાસ કરાવવામાં આવશે. જો રોડનું સમારકામ જરૂરી જણાશે તો તે કરાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 1:12 pm

MSUના કુલપતિ પ્રોફેસર ભાલચંદ્ર ભણગેને રાષ્ટ્રીય સન્માન:બેલ્ગાવીમાં આયોજિત ઇન્ટરનેશનલ કોંગ્રેસમાં 'ISAS શાસ્ત્ર તેજસ શૈક્ષણિક પુરસ્કાર' એનાયત

વડોદરાની વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માટે ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ભાલચંદ્ર એમ. ભણગેને ભારતીય વિજ્ઞાન, ટેકનોલોજી અને શૈક્ષણિક નેતૃત્વ ક્ષેત્રે તેમના અસાધારણ પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ‘ISAS શાસ્ત્ર તેજસ (શૈક્ષણિક) પુરસ્કાર-2025’ થી નવાજવામાં આવ્યા છે. ઇન્ડિયન સોસાયટી ઓફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ્સ (ISAS) દ્વારા આ સન્માનની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકના બેલગાવી ખાતે 22 થી 24 જાન્યુઆરી 2026 દરમિયાન ઇન્ટરનેશનલ એનાલિટિકલ સાયન્સ કોંગ્રેસ (IASC-2026)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કોંગ્રેસના ઉદ્ઘાટન સમારંભમાં પ્રોફેસર ભણગેને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને કેટાલિસિસ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ગ્રીન કેમિસ્ટ્રી અને પર્યાવરણ વિજ્ઞાન જેવા જટિલ વિષયોમાં તેમના દીર્ઘકાલીન સંશોધનોને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવ્યા છે. ISAS એ પ્રોફેસર ભણગેને ભારતની 'મહત્વપૂર્ણ જ્ઞાન સંપત્તિ' તરીકે વર્ણવી તેમની પ્રશંસા કરી છે. પ્રોફેસર ભણગેના નેતૃત્વ હેઠળ એમ.એસ. યુનિવર્સિટી અત્યારે સંશોધન આધારિત જાહેર યુનિવર્સિટી તરીકે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીમાં સસ્ટેનેબલ સાયન્સ અને આંતરવિષયક નવીનતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. દેશ જ્યારે વર્ષ 2047 માં આઝાદીના શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે પ્રોફેસર ભણગે જેવા વૈજ્ઞાનિકોનું કાર્ય ભારતની વૈજ્ઞાનિક પરિસ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યું છે. માત્ર શૈક્ષણિક પુરસ્કાર જ નહીં, પરંતુ પ્રોફેસર ભણગેને તાજેતરમાં કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના CGPDTM કાર્યાલય દ્વારા ‘વૈજ્ઞાનિક સલાહકાર’ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. પેટન્ટ અધિનિયમ-1970 હેઠળ તેમને જટિલ પેટન્ટ મામલાઓમાં તકનીકી સલાહ આપવાની મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ નિમણૂક તેમની વૈજ્ઞાનિક સત્તા અને વિશ્વસનીયતા પર મહોર મારે છે. આ પુરસ્કાર અને નવી જવાબદારીઓથી એમ.એસ. યુનિવર્સિટીની રાષ્ટ્રીય શૈક્ષણિક નકશા પર પ્રતિષ્ઠા વધી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 1:08 pm

મોરબીમાં બે ST બસ વચ્ચે અકસ્માત:રિક્ષાચાલકે બ્રેક મારતા 10થી વધુ મુસાફરોને ઈજા

મોરબી નજીક મહેન્દ્રનગર ગામથી ઘુટુ તરફ જતા રસ્તા પર બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બપોરના 12 વાગ્યાના અરસામાં ઉમા રેસિડેન્સી સામે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, એક રિક્ષાચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી મોરબી-જિકિયારી રૂટની લોકલ બસના ડ્રાઈવરે પણ બસ રોકવા માટે બ્રેક લગાવી હતી. આ લોકલ બસની પાછળ મોરબી-ધંધુકા રૂટની એક્સપ્રેસ એસટી બસ (નંબર GJ 18 ZT 0856) આવી રહી હતી. લોકલ બસના અચાનક બ્રેક મારવાને કારણે એક્સપ્રેસ બસ પાછળથી લોકલ બસ સાથે અથડાઈ હતી, જેના પરિણામે બંને બસને નુકસાન થયું હતું. અકસ્માતમાં બંને બસમાં સવાર આશરે 8થી 10 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 1:00 pm

સાંસદ ગેનીબેનની ગાડીએ યુવકને ટક્કર મારી, ત્રણ કલાક બેભાન રહ્યો:પરિવારનો આક્ષેપ- ફોટો-વીડિયો ડિલીટ કરાવી સાંસદ સ્થળ પરથી નીકળી ગયા, બીજા દિવસે હોસ્પિ.માં આવ્યાં

બનાસકાંઠાના સાંસદ ગેનીબેનની ગાડીએ પાલનપુરના કુશકલ નજીક એક યુવકને ટક્કર મારી હોવાનો ઘટના સામે આવ્યો છે. પીડિત યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, અકસ્માત સમયે સાંસદ પોતે ગાડીમાં હાજર હતા અને તેમના માણસા દ્રારા ઘટનાસ્થળે લેવાયેલા ફોટા અને વીડિયો ડિલીટ કરાવવામાં આવ્યા હતા. આ ઘટના ગઈકાલે પાલનપુર-ડીસા હાઈવે પર કુશકલ પાટિયા નજીક બની હતી. ટક્કર બાદ યુવક ત્રણ કલાક બેભાન રહ્યોપરિવારજનોના જણાવ્યા અનુસાર, ટક્કર વાગ્યા બાદ યુવક બેથી ત્રણ કલાક બેભાન થઈ ગયો હતો. અકસ્માત બાદ સાંસદના માણસો ગાડીમાંથી ઉતર્યા હતા અને જ્યારે લોકોએ ફોટા-વીડિયો લીધા, ત્યારે સાંસદ ગેનીબેને તે ડિલીટ કરાવ્યા હતા અને ત્યાંથી રવાના થઈ ગયા હતા. પરિવારે સાંસદ ગેનીબેન પર ગંભીર આક્ષેપો કર્યાપરિવારનો આક્ષેપ છે કે, અકસ્માત બાદ સાંસદ સ્થળ પરથી નીકળી ગયા હતા અને બીજા દિવસે હોસ્પિટલમાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકના ભાઈએ આ અંગે સાંસદ ગેનીબેન પર ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત પરિવાર દ્વારા યુવકને યોગ્ય અને વ્યવસ્થિત સારવાર મળે તે બાદ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગેનીબેનના માણસોએ ફોટો-વીડિયો ડિલીટ કરાવ્યાં: પરિવારજોકે આ અંગે ઈજાગ્રસ્ત યુવકના ભાઈ નરસાભાઈ માણસાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ ઘટના ત્રણથી સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ બની હતી. જે ગાડીએ મારા ભાઈને ટક્કર મારી તેમા ગેનીબેન પણ બેઠેલા હતા. અકસ્માત બાદ તેઓ ગાડીમાંથી નીચે પણ ઉતર્યા. જોકે, મારા ભાઈને હોસ્પિટલ એમના દ્વારા નથી ખસેડવામાં આવ્યો. તેઓ બીજા દિવસે હોસ્પિટલ આવ્યા અને મળીને જતા રહ્યા હતા. એમના તરફથી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે આ બાબતે આગળ કાર્યવાહી કરીશું. ગેનીબેનની ગાડી સિંગલ રોડ પર હતી. અકસ્માત બાદ ગેનીબેનના માણસોએ ઘટના સ્થળના ફોટો-વીડિયો પણ ડિલીટ કરી નાખ્યા હતા. અત્યારે મારા ભાઈની સ્થિતિ ખરાબ છે. પણ યોગ્ય સારવાર મળશે તો તે સ્વસ્થ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:59 pm

'મારી પત્ની છુટાછેટા માટે 1 કરોડ રૂપિયા માંગે છે':રાજકોટમાં પાનની દુકાન ચલાવતા પત્ની પીડિત પતિની વ્યથા, સાસુએ પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી

રાજકોટમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા પત્ની પીડિત યુવકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિસામણે બેસેલી પત્ની છૂટાછેડા માટે 1 કરોડ રૂપિયા અને પ્રોપર્ટીમાં ત્રીજો ભાગ માગતી હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો છે. પરિણીતા સાસુ-સસરા સહિતના પરિવારજનોને પરેશાન કરતા હોવાની સાસુ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે પરિણીતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરતની સભામાં પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, પાટીદાર સમાજમાં છૂટાછેડા બાદ દીકરીના પિતા પૈસા ગણવા લાગે છે. જે પ્રથા શરમજનક છે. આ વચ્ચે રાજકોટમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. પતિ દ્વારા પત્ની પર ગંભીર આક્ષેપશહેરના કોઠારીયા રોડ ઉપર કેદારનાથ સોસાયટીમાં રહેતા અને પાનની દુકાન ધરાવતા સુનિલ ઘવાએ જણાવ્યુ હતુ કે, મારા લગ્ન વર્ષ 2012માં લોધિકાના રાવકી ગામની કિરણ સાથે થયા હતા. તેનું અફેર અમે પકડી લીધા બાદ તેઓ વારંવાર હેરાન કરે છે અને મારા માતા-પિતા સાથે ઝઘડો પણ કરે છે. છુટ્ટું કરવા માટે રૂપિયા એક કરોડની માંગણી અને પ્રોપર્ટીમાંથી ભાગ માગે છે. અમારા ઘર પર પથ્થરમારો કરવામાં આવે છે અને મારો સાળો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી પત્ની અને મારા બંનેના બીજી વખતના લગ્ન હતા જોકે છેલ્લા બે વર્ષથી તે રિસામણે બેઠી છે. મારી પત્નીએ પ્રથમ લગ્ન કર્યા અને છૂટું કર્યું તે બદલ રૂ.15 લાખ માંગ્યા હોવાની મને જાણ થઈ છે. જે બાદ અમારી પાસે રૂ.1 કરોડ માંગે છે. મારે 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. જેમણે જણાવ્યું કે બંને સંતાનો હાલ મારી પાસે છે. પત્ની છુટાછેડા આપતી નથી પરંતુ હવે પોલીસ પાસેથી ન્યાય મળે તેવી આશા છે. હવે કોર્ટ કેસ પણ કરવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાં આ પ્રકારના કિસ્સાઓ બને છે ત્યારે મારું સમાજને એટલું જ કહેવું છે કે જેનો વાંક હોય તેને એક પણ રૂપિયા આપવાનો ન હોય. પુત્રવધુ સામે સાસુએ ફરિયાદ નોંધાવીનોંધનીય છે કે, આ બનાવ મામલે કેદારનાથ સોસાયટીમાં રહેતા શારદાબેન મનજીભાઈ ઘવા(ઉ.વ.65) દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બે વર્ષથી લોધિકાના રાવકી ગામે રિસામણે બેઠેલી પુત્રવધૂનું નામ આપ્યું હતું. ફરિયાદમાં શારદાબેને જણાવ્યું કે, તેના મોટા દીકરા સુનિલની પત્નીનું નામ કિરણ છે. તે બે વર્ષ પૂર્વે તેના પિયર રાવકી તેણીના દીકરાને લઈને જતી રહી છે. જ્યારે સુનિલની મોટી દીકરી દાદા-દાદી, પિતા સાથે રહે છે. વધુમાં ફરિયાદી જણાવે છે કે, આ કિરણની ફરિયાદીના પુત્ર - સુનિલ સાથે અવારનવાર માથાકૂટ થતી હોય જેથી દોઢ વર્ષ પૂર્વે પુત્રનો સાળો જગદીશ તેની બહેન કિરણને તેડી ગયો હતો. ત્યારબાદ કિરણ અવારનવાર તેમના ઘરે આવતી અને માથાકૂટ કરતી, ઝઘડો કરી ગાળો ભાંડતી અને વડીલો દ્વારા સમાધાનની વાત થતી ત્યારે પણ પૈસાની જ માગણી કરતી હતી. અંતે કોર્ટ દ્વારા ધોરણસર છૂટું કરવાનું નક્કી કર્યું હોવા છતાંય કિરણને એ રીતે છૂટું કરવું નહોતું. તે અવારનવાર ઘરે આવી પથ્થરમારો કરતી અને કહેતી કે, જો છૂટાછેડા કરવા હોય તો તારે ને તારા દીકરાને એક કરોડ આપવા પડશે અથવા તો મિલકતમાં ત્રીજો ભાગ આપવો પડશે. ત્યારબાદ એક વખત આ કિરણ ઘરે ધસી આવી અને ઝઘડો કરવા લાગી કે, મને અત્યારે જ 50 હજાર આપો નહીંતર તમારા દીકરાને હું મરાવી નાખીશ તેમ કહી તેણી માતા-પુત્ર પાસેથી 50 હજાર લઇ ગઈ હતી. આ ઉપરાંત કહેતી હતી કે, જો છૂટાછેડાના પૈસા નહિ આપે તો શાંતિથી જીવવા નહિ દઉં. આ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:50 pm

નાસતો ફરતો આરોપી ઝડપાયો:સાબરકાંઠા SOGએ પાણપુરથી ઝડપ્યો; 4 પ્રોહીબીશન કેસમાં ફરાર હતો

સાબરકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા હિંમતનગરના પાણપુર ગામેથી પ્રોહીબીશનના ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી મોહિતભાઇ ઉર્ફે નેત્રપાલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અરવલ્લી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. સાબરકાંઠા SOGના PI ડી.સી. પરમારના જણાવ્યા અનુસાર, PSI પી.એમ. ઝાલા અને સ્ટાફ ATS ચાર્ટર અંતર્ગત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અનિરૂધ્ધસિંહ અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે પાણપુર ગામના પાટિયા પાસેથી મોહિતભાઇ ઉર્ફે નેત્રપાલ ચૌધરી (રહે. ક્રિષ્ણનગર સોસાયટી, પાણપુર, હિંમતનગર, મૂળ રહે. ભવોકરા, ગૌતમબુધ્ધનગર, ઉત્તર પ્રદેશ) તેના ઘરે આવ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસે તેના ઘરે જઈને તેને ઝડપી પાડ્યો હતો. e-GujCop અને ICJS પોર્ટલ પર આરોપીની વિગતો તપાસતા જાણવા મળ્યું કે તે અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશનમાં બે અને મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે, એમ કુલ ચાર પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો હતો. ધરપકડ બાદ આરોપીને વધુ કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, હિંમતનગર એ ડિવિઝન પોલીસે મોતીપુરા સલાટવાસમાંથી ચોરીના મોબાઈલ ફોન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઢોડા બીટ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હરપાલસિંહને મળેલી બાતમીના આધારે મોતીપુરા સલાટવાસમાં રહેતા ભગવાનભાઈ ઉર્ફે ભગો કિશનભાઈ સલાટ પાસેથી ચોરીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી તેના ઘરે તપાસ કરતા ₹10,000ની કિંમતનો વિવો કંપનીનો V29e આર્ટીસ્ટીક રેડ કલરનો મોબાઈલ ફોન (IMEI નં. 863405068086492 તથા 863405068086484) મળી આવ્યો હતો. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મુદ્દામાલ કબજે લઈ ભગવાનભાઈ ઉર્ફે ભગો કિશનભાઈ સલાટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:48 pm

નર્મદા કેનાલમાં ડૂબેલી પરિણીતાનો મૃતદેહ મળ્યો:6 દિવસની શોધખોળ બાદ બાલાસિનોર નજીકથી લાશ મળી

ગોધરા તાલુકાના રાણિયાની મુવાડી પાસે નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી પરિણીતાનો મૃતદેહ 6 દિવસની સઘન શોધખોળ બાદ મળી આવ્યો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ટીમલી ગામ નજીક નર્મદા કેનાલના ગેટ નંબર 1 પાસેથી આ મૃતદેહ મળી આવ્યો હતો. કંચનબેન રઘુનાથસિંહ મહિડા (નટવરસિંહ રાયસિંહ ચૌહાણની દીકરી) ગત 18 જાન્યુઆરીના રોજ નર્મદા મુખ્ય કેનાલ નજીક કપડાં ધોવા ગયા હતા. કપડાં ધોયા બાદ તેઓ હાથ-પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કંચનબેનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સમગ્ર મામલે કાંકણપુર પોલીસે જાણવાજોગ નોંધ કરી કેનાલમાં ડૂબેલા મહિલાની શોધખોળ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:44 pm

ગોધરાના સામલી બેટિયા ગામના યુવકનો આપઘાતનો પ્રયાસ:કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ગોધરા તાલુકાના સામલી બેટિયા ગામમાં એક ૨૬ વર્ષીય યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકને ગંભીર હાલતમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સામલી બેટિયા ગામમાં રહેતા 26 વર્ષીય અલ્પેશભાઈ પરમારે પોતાના ખેતરે ખેતીકામમાં વપરાતી જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ તેમની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ અલ્પેશભાઈની સઘન સારવાર શરૂ કરી છે. યુવકે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:41 pm

જન્મદિવસે જરૂરિયાતમંદને ઘર બનાવવામાં મદદ:મોરબીના લાયોનેસ ક્લબ વાઇસ પ્રેસિડેન્ટની દીકરીએ અનોખી રીત જન્મદિવસની કરી ઉજવણી

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ સાધના ઘોડાસરાની દીકરી શ્રેયા ઘોડાસરાએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. રાજકોટ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી શ્રેયાએ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘર બનાવવામાં આર્થિક મદદ કરીને આ ખાસ દિવસની ઉજવણી કરી. આ સેવાકીય કાર્ય અંતર્ગત, મોરબી નજીક આવેલા જીકિયારી ગામ પાસે રહેતા આર્થિક રીતે પછાત રંજનબેન મકવાણાને રહેવા માટે આશ્રય નહોતો. શ્રેયા અને તેમના માતા સાધનાબેન ઘોડાસરાએ રંજનબેનના ઘરની છત બનાવવા માટે આર્થિક યોગદાન આપ્યું. યુવાનો સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી મોજમજા અને પાર્ટીઓમાં કરતા હોય છે, ત્યારે શ્રેયા ઘોડાસરાએ સેવાકીય કાર્ય દ્વારા જન્મદિવસ ઉજવી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી, જે 2017 થી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહી છે, તેના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા અને સમગ્ર ટીમે આ વિશેષ કાર્યને બિરદાવ્યું. ક્લબ દ્વારા શ્રેયાને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:38 pm

પહેલીવાર ગુજરાતની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ વિદેશમાં ડંકો ગજવશે:સુરતની બે બાળકી આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધા માટે દુબઈ જશે, 'સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ' પ્રોજેક્ટથી દુનિયાને ચોંકાવશે

ગુજરાતના શિક્ષણ જગતમાં એક નવો સૂર્યોદય થયો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત 'સુમન હાઈસ્કૂલ'ની 2 દીકરીઓએ એ કરી બતાવ્યું છે જે મોટાભાગના લોકો માટે માત્ર એક સપનું હોય છે. ગુજરાતમાં કદાચ આ પ્રથમ ઘટના હશે જ્યાં સરકારી સ્કૂલમાં ભણતી 2 વિદ્યાર્થિનીઓ તેમની પ્રતિભાના જોરે આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધા માટે દુબઈ (UAE) જઈ રહી છે. આ માત્ર વિદેશ પ્રવાસ નથી, પણ સરકારી શિક્ષણની બદલાતી તસવીરની સાબિતી છે. આ દીકરીઓ માત્ર ફરવા નથી જઈ રહી, પણ દુનિયાને નવી દિશા આપવા જઈ રહી છે. તેમણે 'Satellite-Link Renewable Forecast and Smart Poultry Farming System' પર એક અદ્ભૂત પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2026 દરમિયાન શારજાહની 'Manthena American School'માં આ વિદ્યાર્થિનીઓ રોબોટિક્સના માધ્યમથી ખેતીને કેવી રીતે આધુનિક બનાવી શકાય તેનું લાઈવ પ્રદર્શન કરશે. આ પ્રોજેક્ટ ભારતની કૃષિ ક્રાંતિને આંતરરાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ અપાવશે. રોબોટિક્સ કોમ્પિટિશન માટે વિદેશની ટિકિટ કન્ફર્મસુમન હાઈસ્કૂલ નંબર 14ની સ્નેહા સિંઘ અને તન્નુ સહાનીએ પોતાની બુદ્ધિશક્તિથી સાબિત કરી દીધું કે પ્રતિભા સુવિધાઓની મોહતાજ નથી હોતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 8 સુમન સ્કૂલના 43 વિદ્યાર્થીઓ સામે લડીને આ બંને વિદ્યાર્થિનીઓએ WSRO-2026 ઇન્ટરનેશનલ રોબોટિક્સ કોમ્પિટિશન માટે વિદેશની ટિકિટ કન્ફર્મ કરાવી છે. દીકરીઓનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અન્ય બાળકો માટે પ્રેરણાસામાન્ય પરિવારમાં રહેતી આ દીકરીઓ માટે પ્લેનમાં બેસવું એ એક કલ્પના હતી, જે હવે હકીકત બનવા જઈ રહી છે. ધોરણ 10માં અભ્યાસ કરતી તન્નુ અને સ્નેહા સાથે તેમના આચાર્ય પણ દુબઈ જશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ આખો ખર્ચ સરકારી તિજોરી પર બોજ બનવાને બદલે, સ્કૂલમાં AI લેબ ચલાવતી ખાનગી એજન્સી 'Shreeji Technology Pvt. Ltd.' ઉઠાવી રહી છે. આ દીકરીઓનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અન્ય હજારો બાળકો માટે પ્રેરણાનું ઝરણું બનશે. 80 જેટલા વિદ્યાર્થીઓ સામે ભારતનું પ્રતિનિધિત્વ કરશેધોરણ 10માં અભ્યાસ કરતી બે હોનહાર વિદ્યાર્થિનીઓ તન્નુ સહાની અને સ્નેહા સિંઘ, જેમના માતા-પિતા પણ ઓછું ભણેલા છે, તેમણે માત્ર 2 સપ્તાહની ટૂંકી મહેનતમાં એક અદ્ભૂત રોબોટિક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ગુજરાતની આ પ્રથમ સરકારી સ્કૂલ છે જેની દીકરીઓ હવે દુબઈમાં યોજાનારી ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં અંદાજે 80 જેટલા વિદ્યાર્થીઓ સામે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 'સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ' પ્રોજેક્ટ શું છે?આ દીકરીઓએ તૈયાર કરેલા 'સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ' પ્રોજેક્ટમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં Ultra-Sonic સેન્સર દ્વારા ઇંડા ભરાઈ જતાં માલિકને મોબાઈલ એલર્ટ મળે છે, જ્યારે LDR સેન્સર જરૂરિયાત મુજબ જ લાઈટ ચાલુ રાખી ઉર્જા બચાવે છે. ફાર્મમાં એમોનિયા ગેસ વધતા જ Gas Sensor આપમેળે પંખા શરૂ કરી દે છે અને PIR System આસપાસના જોખમી હલનચલન સામે ચેતવણી આપે છે. વધુમાં, સોલર એનર્જી મેળવવા માટે આ ફાર્મ આપમેળે મૂવમેન્ટ કરી શકે છે અને ઘાસ ઓછું હોય તો વ્હીલ દ્વારા અન્ય જગ્યાએ ખસી જવાની ક્ષમતા પણ ધરાવે છે. વધુમાં જણાવ્યું હતું કે, આમાં અમારા શિક્ષકો અને આચાર્ય મેમે પણ અમને ઘણો સપોર્ટ કર્યો છે, જેના કારણે જ અમે આ પ્રોજેક્ટ બનાવી શક્યા છીએ. અમારો આ પ્રોજેક્ટ 'સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ' વિશે છે. વિદ્યાર્થિનીઓ વિદેશ જાય છે એ ખૂબ ગર્વની વાતઆચાર્ય પ્રારંભિ શરદભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, સુમન હાઈ સ્કૂલ નંબર 14ની આચાર્ય છું. છોકરીઓ રિજન લેવલથી અમદાવાદમાં સિલેક્ટ થઈ છે અને હવે ઇન્ટરનેશનલ લેવલ પર UAE જઈ રહ્યા છે. મારા 22-23 વર્ષના અનુભવથી મેં એવા બાળકો જોયા છે કે, આ એરિયાના છોકરાઓ પર માતા-પિતા બિલકુલ ધ્યાન નથી આપતા કે એ લોકો શું ભણે છે, શું નહિ. અમને અહીંયા AI લેબ માટે પ્રોવાઈડ કરાવવા માટે કમિશનર મેડમ પણ ખુબ જ પ્રશંસાને પાત્ર. આજે છોકરીઓ પોતાની દમ પર આગળ વધી રહી છે તો એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. 'પોલ્ટ્રી ફાર્મમાં અલગ-અલગ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો'સ્નેહા રાજકુમાર સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, અને અમે અમારા પ્રોજેક્ટ સાથે દુબઈ જઈ રહ્યા છીએ. અમે અગાઉ અમદાવાદ ગયા હતા અને ત્યાં અમારા પ્રોજેક્ટની પસંદગી થઈ હતી. અમે આંતરરાષ્ટ્રીય સ્તર માટે ક્વોલિફાય થયા છીએ. અમારો પ્રોજેક્ટ 'સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ' છે. આ પોલ્ટ્રી ફાર્મમાં અલગ-અલગ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે તેના માટે કોડિંગ કર્યું છે. તે સેટેલાઇટ સાથે જોડાયેલું છે અને તે API ના રૂપમાં ડેટા સ્ટોર કરે છે. જ્યારે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે તે ઉર્જા વાપરે છે અને સોલર પેનલ્સ તે ઉર્જા પૂરી પાડે છે.આ પ્રોજેક્ટ બનાવવામાં લગભગ બે અઠવાડિયા લાગ્યા હતા. મારા પિતાનું નામ રાજકુમાર સિંઘ છે, તેઓ સ્થાનિક ડ્રાઈવર છે. તેઓ મશીનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. મારી માતા ગૃહિણી છે. 'અમે બાળકોને પ્રેક્ટિકલથી શરૂઆત કરાવી છે'AIની શિક્ષિકા કિંજલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તેઓને જ્યારે પહેલી વખત કહીએ છીએ ત્યારે તેઓ પૂછે છે, ‘ટીચર, આ ક્યારે બનાવીશું? ક્યારે...’. અમે પાયાથી શરૂઆત કરી. તેઓ સીધું જ એમ કહે છે કે ‘અમને પ્રેક્ટિકલ કરાવો.’ તેથી મેં તેઓને પ્રેક્ટિકલથી શરૂઆત કરાવી છે. અમુક છોકરાઓ તો એટલા સક્રિય છે કે તેઓ ઘરે જઈને પણ એના વિશે શોધીને આવે છે અને કહે છે, ‘ટીચર, આપણે આ પ્રોજેક્ટ બનાવી શકીએ. આપણે રોબોટને આવી રીતે સેન્સ કરાવીને આવો રોબોટ બનાવી શકીએ.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:37 pm

કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે PSIના માનસિક ત્રાસથી આપઘાત કર્યો?:બી.કે ગોસ્વામીના કારણે સુસાઇડ કર્યાનો પરિવારજનોનો આક્ષેપ, ચાલુ ફરજે કારમાં જ દવા ગટગટાવતા મોત થયું હતું

બે દિવસ પહેલા ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ભૂતેશ્વર ગામ નજીક આત્મહત્યા કરી હતી. PSI બી.કે ગોસ્વામીના માનસિક ત્રાસના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનોમાં એક દીકરો અને એક દીકરી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક દિગ્વિજયસિંહ ગોહિલને ન્યાય અપાવવા માટે તેમના બેને ક્ષત્રિય સમાજને આહવાન કર્યું છે. જો જવાબદાર ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે ગોસ્વામી વિરુદ્ધ પગલા ભરવામાં નહીં આવે તો પરિવાર કલેકટર કચેરીએ ધરણાં પર બેસી જશે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:18 pm

અમરેલીમાં કતલખાને લઈ જવાતા 8 પશુ ઝડપાયા:ગૌરક્ષકોની સતર્કતાથી ટ્રક સાથે 2 આરોપી સામે ગુનો નોંધાયો

અમરેલી શહેરમાં ગૌરક્ષકોની સતર્કતાને કારણે કતલખાને લઈ જવાતા 8 ભેંસોને બચાવવામાં સફળતા મળી છે. મોડી રાત્રે ટ્રકમાં ખીચોખીચ ભરીને લઈ જવાઈ રહેલા પશુઓ સાથે ટ્રકને ઝડપી પાડી, બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી પંથકમાં પશુઓને કતલખાને લઈ જવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેની સામે હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો વધુ સક્રિય બન્યા છે. રાત્રીના સમયે ખાનગી રાહે પશુઓની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ગૌરક્ષકોએ આ કાર્યવાહી કરી હતી. ગૌરક્ષકોને મળેલી ચોક્કસ માહિતીના આધારે અમરેલી વિસ્તારમાં એક ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં કુલ 8 ભેંસોને અત્યંત ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધીને કતલના ઇરાદે લઈ જવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. ગૌરક્ષકોએ તાત્કાલિક અમરેલી સિટી પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી અમરેલી સિટી પોલીસે ટ્રક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ ફિરોજભાઈ કાસમભાઈ પરમાર (રહે. ગુંદરણ, ડ્રાઈવર) અને ઇકબાલભાઈ તરકવાડીયા (રહે. અમરેલી) વિરુદ્ધ પશુ ક્રૂરતા અને કતલ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. બચાવવામાં આવેલા પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી મોડી રાતે કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:17 pm

યોગીના ફોટા પર કાળી શાહી લગાવી, પોલીસે ટીંગાટોળી કરી:શંકરાચાર્યના અપમાનને વડોદરામાં યુથ કોંગ્રેસ-NSUIએ રોડ બાનમાં લઈ પોલીસને હંફાવી, તમામની અટકાયત

પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાન મામલે વડોદરાના ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. કોંગ્રેસના કાર્યકરોએ યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી લગાવી વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસે હાજર પોલીસે તમામ કોંગ્રેસી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોને વાનમાં ભરી લીધા હતાં. થોડી વાર માટે તો યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ કાર્યક્રમોને આખો રોડ બાનમાં લીધો હતો અને પોલીસને પણ હંફાવી હતી. કાર્યકરોને રોકતા સમયે પોલીસ જવાનોના હાથ પણ શાહીથી લથપથ થયાં હતાં.કેવી રીતે શરૂ થયો વિવાદ, વાંચો શું થયું…18 જાન્યુઆરી રવિવારે પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાવસ્યા પર સ્નાન કરવા આવેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પાલખી પોલીસે રોકી. તેમણે તેમને સંગમ સુધી ચાલતા જવાનું કહ્યું. શંકરાચાર્યના શિષ્યોએ ના પાડી અને પાલખી લઈને આગળ વધવા લાગ્યા. આના કારણે શિષ્યો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસે ઘણા શિષ્યોની અટકાયત કરી અને એક સાધુને પોલીસ સ્ટેશનમાં માર માર્યો. આનાથી શંકરાચાર્ય ગુસ્સે થયા અને તેમણે તેમના શિષ્યોને મુક્ત કરવાનો આગ્રહ રાખ્યો. અધિકારીઓએ તેમની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, તેમને વિનંતી કરી, પરંતુ તેમણે ના પાડી. લગભગ બે કલાક સુધી હંગામો ચાલુ રહ્યો. આ પછી, પોલીસે શંકરાચાર્યના ઘણા વધુ સમર્થકોની અટકાયત કરી. શંકરાચાર્યની પાલખીને સંગમથી એક કિલોમીટર દૂર ખેંચી જવામાં આવી. આ દરમિયાન પાલખીનું છત્ર તૂટી ગયું. શંકરાચાર્ય સ્નાન પણ કરી શક્યા નહીં. આ સમગ્ર ઘટનાથી નારાજ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પોતાના કેમ્પમાં ધરણા કર્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી પોલીસ વહીવટીતંત્ર તેમને સન્માન અને પ્રોટોકોલ સાથે નહીં લઈ જાય ત્યાં સુધી તેઓ ગંગામાં સ્નાન નહીં કરે. આ દરમિયાન, પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મંજુરી વિના પાલખીમાં આવ્યા હતા. તે સમયે સંગમમાં મોટી ભીડ હતી. તેમના સમર્થકોએ અવરોધો તોડી નાખ્યા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ. શાસને અવિમુક્તેશ્વરાનંદને 48 કલાકમાં બે નોટિસ જારી કરીસમગ્ર ઘટનાથી નારાજ અવિમુક્તેશ્વરાનંદ શિબિરની બહાર ધરણા પર બેસી ગયા હતા. પ્રશાસને અવિમુક્તેશ્વરાનંદને 48 કલાકમાં બે નોટિસ જારી કરી. પહેલી નોટિસમાં તેમના શંકરાચાર્યની પદવી લખવા પર સવાલો પૂછવામાં આવ્યા હતા, જ્યારે બીજી નોટિસમાં મૌની અમાસને લઈને થયેલા હોબાળા પર સવાલો પૂછવામાં આવ્યા. પ્રશાસને ચેતવણી આપી હતી કે શા માટે તમને હંમેશા માટે માઘ મેળામાંથી પ્રતિબંધિત ન કરવામાં આવે. અવિમુક્તેશ્વરાનંદે બંને નોટિસના જવાબ મોકલી દીધા હતા. (પળેપળની અપડેટ માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:13 pm

કારેલીબાગમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા દોડધામ:ગેરેજમાં ચાર ફોર-વ્હીલર અને બે બાઇક ખાખ; ફાયરે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી રોડ પર આવેલ જોસેફ મોટર ગેરેજમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગેરેજમાં રાખેલા વાહનોને ભારે નુકસાન થયું છે. આ અંગે ફાયર વિભાગની પાંચ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મળેવવામાં આવ્યો હતો. 5 ફાયરની ગાડીએ ભારે જહેમત બાદ કાબૂમાં લીધીઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ આપવામાં આવ્યો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દાંડિયાબજાર ફાયર સ્ટેશનની પાંચ ફાયર ગાડીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગથી ગેરેજ માલિકને ભારે નુકસાનઆ આગમાં ગેરેજમાં રહેલ ચાર ફોર-વ્હીલર અને બે બાઇક સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગયા છે. ગેરેજ માલિક જોસેફભાઈએ જણાવ્યું હતું કે, વહેલી સવારે અચાનક આગ લાગી હતી અને તે કયા કારણોસર લાગી તે સમજાયું નથી. આ ઘટનાથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની એક ગાડી તાત્કાલિક આવી હોવા છતાં બાકીની ગાડીઓને આવવામાં વિલંબ થતાં વધુ નુકસાન થયું હોવાના આક્ષેપો પણ કર્યા છે. આગ લાગવા પાછળનું કારણ અકબંધઆ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ દ્વારા આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જ સ્પષ્ટ માહિતી મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:48 am

જૂનાગઢના અમરાપુર ગીરમાં ગેરકાયદે ખાણ પર મેગા રેડ:​પોલીસ અને મામલતદારની સંયુક્ત કાર્યવાહીમાં JCB અને ટ્રેક્ટરો સીઝ, ભૂ-માફિયાઓમાં ફફડાટ, લાખોનો મુદામાલ સીઝ,

જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગીર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ પર ગત રાત્રિના સમયે પોલીસ અને મહેસૂલ વિભાગે સંયુક્ત રીતે ત્રાટકીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેને પગલે સમગ્ર પંથકના ભૂ-માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. માળીયા હાટીનાના અમરાપુર ગીર વિસ્તારમાં નદીના પટ અને સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી. જેના આધારે મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતી રેડ પાડતા ખનીજ ચોરોમાં નાસભાગ મચી ગઈ હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે ખનન કરી રહેલું એક JCB મશીન અને રેતીની ચોરીમાં સંડોવાયેલા બે ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા. તંત્રએ આ તમામ વાહનોને સીઝ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ ખનીજ વિભાગને પણ સ્થળ પર બોલાવીને ચોરી કરવામાં આવેલી ખનીજની માત્રા અને તેની કિંમતનો અંદાજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરોડા બાદ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું હતું. પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર રીતે મોટા પાયે ખનન થયું હોવાનું બહાર આવ્યું છે. વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી લાખો રૂપિયાનો દંડ ફટકારવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીને કારણે ખનીજ ચોરી કરતા તત્વો હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. છેલ્લા ઘણા સમયથી ગીરના સરહદી વિસ્તારોમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા. પરંતુ મામલતદાર અને પોલીસની આ 'સર્જિકલ સ્ટ્રાઈક' થી ખનીજ માફિયાઓના આર્થિક સામ્રાજ્ય પર મોટો ફટકો પડ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:43 am

દારૂબંધી મુદ્દે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ, PIએ રિવોલ્વર કાઢી:જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ, અધિકારીઓ સામે FIR દાખલ નહીં થાય ત્યાં સુધી આંદોલનની ચિમકી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામે ગત (23 જાન્યુઆરી) મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ગામમાં ચાલતા બેફામ દારૂના વેચાણ અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે મામલો એટલો બિચક્યો કે પીઆઈ (PI)એ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે. આ ઘર્ષણમાં મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક અને મારપીટ કરવામાં આવી હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હવે જ્યાં સુધી દોષિત પોલીસ અધિકારીઓ સામે FIR દાખલ ન થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત એક મહિલાને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? વાલેવડા ગામમાં લાંબા સમયથી બુટલેગરો દ્વારા બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ હતો. આ અંગે ગામના યુવાનો અને મહિલાઓ એકત્ર થઈને પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે, દસાડા પોલીસ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે બુટલેગરોને પકડવાને બદલે રજૂઆત કરનારાઓ પર જ ઉશ્કેરાઈ ગઈ હતી. PI ઉપાધ્યાય પર રિવોલ્વર તાણવાનો ગંભીર આક્ષેપ ઘર્ષણ દરમિયાન પરિસ્થિતિ એટલી વણસી હતી કે, દસાડા PI ઉપાધ્યાયે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હવામાં અધ્ધર કરી ગ્રામજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું લોકો જણાવી રહ્યા છે. મોડી રાત્રે થયેલી આ ઝપાઝપીમાં પોલીસ અને ગ્રામજનો સામસામે આવી ગયા હતા, જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી. ‘અમે હપ્તા આપીએ છીએ, પોલીસ અમારું કઈ નહીં કરે’ ગ્રામજનોએ પોલીસની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. વણોદ બીટ જમાદાર હમીરભાઈ સોલંકીએ એક મહિલાના વાળ ખેંચી તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ મહિલાને માથામાં ઈજા થતાં બહુચરાજી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડાઈ છે. ગામની રમલી નામની બુટલેગર મહિલાએ જાહેરમાં એવું કહ્યું હતું કે, અમે પોલીસને હપ્તા આપીએ છીએ, પોલીસ અમારું કંઈ બગાડી શકશે નહીં. આ નિવેદનથી ગ્રામજનોમાં પોલીસ સામેનો રોષ બમણો થયો છે. અલ્પેશ ઠાકોર અને PK પરમારને જાણ કરાઈ ઘટનાની ગંભીરતા જોતા સુરેન્દ્રનગર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધવલ પટેલ સહિતના આગેવાનો રાત્રે જ વાલેવડા દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આક્રમક મૂડમાં ધારાસભ્ય પી.કે. પરમાર અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તથા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ફોન પર સમગ્ર હકીકત જણાવી ન્યાયની માગ કરી છે. અધિકારીઓ સામે FIR દાખલ નહીં થાય ત્યાં સુધી આંદોલનની ચિમકી વાલેવડાના રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ગ્રામજનોનો આક્રોશ જોતા સ્થિતિ હજુ પણ તંગ જણાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:42 am

ગારિયાધારમાં તાલુકા કક્ષાની યોગ શિબિર સંપન્ન:યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની પ્રેરણાથી તન-મનની તંદુરસ્તી માટે ગામડે-ગામડે પ્રાણાયામ અને ધ્યાનનો પ્રસાર

'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને વેગ આપવા માટે ગારિયાધાર ખાતે તાલુકા કક્ષાની યોગ શિબિરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 112 જેટલા જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાતો દ્વારા સ્વાસ્થ્યનું માર્ગદર્શન આ શિબિરમાં ઝોન કોઓર્ડિનેટર શ્રી વાલજીભાઈ ડાભી અને જિલ્લા કોઓર્ડિનેટર વિશાલભાઈ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા શરીરને નિરોગી રાખવા તેમજ માનસિક શાંતિ પ્રાપ્ત કરવા વિશે ઊંડાણપૂર્વકની સમજ આપી હતી. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીની પ્રેરણાથી રાજ્યના ખૂણે-ખૂણે યોગનો પ્રચાર થઈ રહ્યો છે. આ શિબિરનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને મેદસ્વિતા જેવી સમસ્યાઓથી દૂર રાખીને શારીરિક રીતે સક્ષમ બનાવવાનો છે. યોગ કોચ ભદ્રેશભાઈ અને મયંકભાઈની ટીમ દ્વારા શિબિરનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:35 am

કલેક્ટર ડો. અનિલ ધામેલિયા રાજ્યકક્ષાએ સન્માનિત:સ્પીપા કેમ્પસમાં આયોજિત 15મા રાજ્યવ્યાપી મહોત્સવમાં વડોદરાની નવતર ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ માટે વિશેષ બહુમાન કરાશે

વડોદરા જિલ્લા માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે જાહેર કરવામાં આવતા પ્રતિષ્ઠિત ‘બેસ્ટ ઇલેક્ટોરોલ પ્રેક્ટિસ – 2025’ એવોર્ડ માટે વડોદરાના કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના શ્રેષ્ઠ ચૂંટણી સંચાલન અને મતદાર જાગૃતિના અથાક પ્રયાસો બદલ તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ગાંધીનગર ખાતે ભવ્ય એવોર્ડ સમારોહ આગામી તા. 25-01-2026 ના રોજ રાજ્યમાં 15 મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ ઉજવવામાં આવશે. આ પ્રસંગે ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સ્પીપા (SPIPA) કેમ્પસ ખાતે સવારે 11:00 કલાકે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે ડો. ધામેલિયાને આ સન્માન અર્પણ કરવામાં આવશે. આ માટે થઈ વડોદરાની પસંદગી રાજ્યભરના વિવિધ જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલી ચૂંટણીલક્ષી કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાનું અસરકારક વ્યવસ્થાપન, ટેકનોલોજીનો ઉપયોગ અને નવીનતમ પ્રયોગો દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે ડો. અનિલ ધામેલિયાની કામગીરી ઉડીને આંખે વળગી હતી. ખાસ કરીને યુવા અને નવા મતદારોને લોકશાહીના પર્વમાં જોડવા માટેના તેમના પ્રયાસોને રાજ્ય કક્ષાએ બિરદાવવામાં આવ્યા છે. આ એવોર્ડ માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ સમગ્ર વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીને મજબૂત કરવા માટે કરવામાં આવેલી સામુહિક મહેનતનું પરિણામ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:24 am

સરસ્વતી પૂજાના પવિત્ર કાર્યક્રમ પર અશ્લીલ આયોજન:સુરતમાં વસંતપંચમીએ સ્ટેજ પર મહિલાઓએ અસભ્ય ડાન્સ-ઠૂમકા લગાવતાં લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમીના સરસ્વતી પૂજાના પવિત્ર અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક કાર્યક્રમના નામે સ્ટેજ પર મહિલાઓ પાસે ઠૂમકા લગાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. ભક્તિમય માહોલને બદલે સ્ટેજ પર બિભત્સતાનો વરવો નમૂનો રજૂ કર્યોઆનંદ પાર્ક સોસાયટીમાં વિદ્યાની દેવી માં સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ભક્તિમય માહોલને બદલે આયોજકોએ સ્ટેજ પર બિભત્સતાનો વરવો નમૂનો રજૂ કર્યો હતો. જાહેર મંચ પર મહિલાઓ દ્વારા કરવામાં આવેલા અસભ્ય ડાન્સ અને ઠૂમકાઓને કારણે ત્યાં હાજર રહેલા મર્યાદિત પરિવારો અને વડીલો અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. સરસ્વતી પૂજાના પવિત્ર કાર્યક્રમ પર અશ્લીલ આયોજનસૌથી ગંભીર બાબત એ છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓ પણ ઉપસ્થિત હતા. બાળકોના કુમળા માનસ પર જેની ખરાબ અસર પડી શકે તેવા આ પ્રકારના આયોજન સામે સોસાયટીના જ કેટલાક જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી છે. સરસ્વતી પૂજા જેવા પવિત્ર પર્વ પર અશ્લીલ જેવું આયોજન એ સંસ્કારોનું અધઃપતન હોવાનું લોકો કહી રહ્યા છે. ધાર્મિક ઉત્સવો માત્ર મનોરંજન અને અશ્લીલતાનું સાધન બની ગયા છે?આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સુરત શહેરમાં આ આયોજનને લઈ ચર્ચાઓ જાગી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આજના સમયમાં ધાર્મિક ઉત્સવો માત્ર મનોરંજન અને અશ્લીલતાનું સાધન બની ગયા છે? જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માગ પણ ઉઠી છે. ધર્મના નામે અધર્મ ફેલાવતા તત્વો સામે કાર્યવાહી અપેક્ષાહવે જોવાનું એ રહે છે કે આ મામલે પોલીસ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી 'ભીનું સંકેલી' લેવામાં આવશે. ધર્મના નામે અધર્મ ફેલાવતા આવા તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહીની અપેક્ષા જનતા રાખી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:18 am

વલ્લભીપુરમાં યોજાશે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ:ગંભીરસિંહજી હાઈસ્કૂલ મેદાનમાં લોકકલ્યાણ યોજનાના લાભાર્થીઓના સન્માન સાથે જોવા મળશે રાષ્ટ્રીય ભાવનાનો અનોખો સંગમ

ભાવનગર જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે જિલ્લા કક્ષાના મુખ્ય સમારોહનું આયોજન વલ્લભીપુર ખાતે કરવામાં આવ્યું છે, જેનું નેતૃત્વ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા કરશે. કાર્યક્રમનું સ્થળ અને સમય આ રાષ્ટ્રીય પર્વ તા. 26 January, 2026 ના રોજ સવારે 9:00 કલાકે વલ્લભીપુરની ગંભીરસિંહજી હાઈસ્કૂલના પાછળના મેદાનમાં યોજાશે. મંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. સાંસ્કૃતિક અને સન્માન સમારોહ સમારોહમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. આ સાથે જ સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને વિશિષ્ટ સેવા આપનાર મહાનુભાવોનું સન્માન કરાશે. નિવાસી અધિક કલેક્ટરશ્રીએ આ ગૌરવશાળી પર્વમાં જોડાવા નાગરિકોને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:15 am

પંચનાથ હોસ્પિટલમાં હવે જનરલ વોર્ડનો ચાર્જ નહીં:રાજકોટમાં ઐતિહાસિક શિવ મંદિર પરિસરમાં 5 વર્ષથી રાહતદરે દર્દીઓની થતી સુશ્રુષા

રાજકોટની પંચનાથ મહાદેવ હોસ્પિટલે એક ઐતિહાસિક અને માનવહિતકારી નિર્ણય લીધો છે. પંચનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલી આ હોસ્પિટલને 5 વર્ષ પૂર્ણ થતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જનરલ વોર્ડ સંપૂર્ણપણે વિનામૂલ્યે અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં લેવાયેલો આ નિર્ણય રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે. પંચનાથ મંદિરના ચેરમેન દેવાંગ માકડે જણાવ્યુ હતુ કે,પંચનાથ મહાદેવ હોસ્પિટલે સેવા, સંવેદના અને માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. તા.21 જાન્યુઆરીએ પંચનાથ હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતા આ પાવન અવસરે ભાઈશ્રીની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે પંચનાથ હોસ્પિટલનો જનરલ વોર્ડ સંપૂર્ણપણે વિનામૂલ્યે સેવા માટે અર્પણ કરવામાં આવ્યો છે. હવે જનરલ વોર્ડમાં દાખલ થતા કોઈ પણ દર્દીને હોસ્પિટલ તરફથી કોઈ બિલ લેવામાં આવશે નહીં, દર્દીએ માત્ર દવા, રિપોર્ટ અને ડાયગ્નોસિસના ખર્ચ ચૂકવવાના રહેશે. આ સિવાય પંચનાથ હોસ્પિટલમાં અનેક એવી સુવિધા છે કે જે વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જેમકે આઈ.સી.યુ.માં વેન્ટિલેટરની સુવિધા, ઓક્સિજનનો કોઈ ચાર્જ નહીં. એટલે કે ICUની તમામ મશીનરી દર્દીઓ માટે ફ્રીમાં છે. જેથી તેઓ વિનામૂલ્યે સારવાર મેળવી શકે. જનરલ વોર્ડમાં 12 બેડની સુવિધા છે. 21 જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી અને આજે આખો વોર્ડ ફુલ છે. પંચનાથ હોસ્પિટલમાં કુલ 55 ડોક્ટર આવે છે. અહીંયા જનરલ ડોક્ટર્સ, ફિઝિયોથેરાપીસ્ટ, આંખના ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર સહિતની ટીમ અહીંયા સેવા આપે છે. દેવાંગ માકડે કહ્યું કે અમારો પ્રયાસ એ જ રહેશે કે દરેક દર્દીને સારામાં સારી સારવાર મળી રહે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:11 am

70 વર્ષીય મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી 24 લાખ પડાવ્યાં:ચાઇલ્ડ પોનોગ્રાફી અને ગેમ્બલિંગના કેસમાં આધારકાર્ડ, મોબાઈલ નંબરનો ઉપયોગ થયો હોવાનું કહી રૂમમાં બંધ કર્યા

શહેરના મેમનગરમાં રહેતા 70 વર્ષના વૃદ્ધ મહિલાને સાઇબર ગઠિયાઓએ ચાઈલ્ડ પોનોગ્રાફી અને ગેમ્બલિંગમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે, કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ગઠિયાઓએ પોતે પોતાની ઓળખ સંચાર વિભાગના અધિકારી અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપીને મહિલાને ડરાવી તેમની પાસેથી 24 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ મહિલા પાસેથી વધુ 40 લાખ રૂપિયાની માંગણી કરતા મહિલાએ ફોન કાપી નાખ્યો હતો અને દીકરાને જાણ કરી હતી. મહિલાએ આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસના નામે ઠગોએ વૃદ્ધાને ફોન કર્યોમેમનગરમાં 70 વર્ષીય વૃદ્ધ મહિલા એકલા રહે છે. વૃદ્ધના પતિ અને દીકરાનું અગાઉ કોરોનાની બીમારીના કારણે અવસાન થયું હતું, જ્યારે નાનો વૃદ્ધાથી અલગ રહેતો હતો. વૃદ્ધાને 4 જાન્યુઆરીએ એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનાર વ્યક્તિએ પોતે સંચાર વિભાગમાંથી વિજય ખન્ના હોવાની ઓળખ આપી હતી. જે બાદ જણાવ્યું હતું કે તમારા બેંક એકાઉન્ટમાં દર મહિને 25 લાખ રૂપિયા વ્યાજ આવે છે. મુંબઈ પોલીસે વિજય ગોહિલ નામના આરોપીને એરેસ્ટ કર્યો છે. તેણે કેનેરા બેંક એકાઉન્ટમાં બે પરિવાર સાથે 24 કરોડનું કૌભાંડ કર્યું છે. જે અંગે હું કોલ ટ્રાન્સફર કરી તમારી વાત ગુનાની તપાસ કરાવનાર અરુણકુમાર સાથે કરાવું છું. મહિલાનો નંબર ગંભીર કેસમાં ઉપયોગ થયાનું જણાવી ડરાવ્યાંઅરુણ કુમારે મહિલા સાથે વાત કરી હતી અને પોલીસ તરીકેની ઓળખ આપીને જણાવ્યું હતું કે તમારા આધારકાર્ડ પરથી તમારા નામથી એક નંબર રજિસ્ટર થયો છે, જેનો ઉપયોગ ચાઈલ્ડ પોનોગ્રાફી અને ગેમ્બલિંગનો ઉપયોગ થયો. જેથી અમારી CBIની સર્વેલમ સ્ટીમ સતત તમારા સંપર્કમાં રહેશે તો તમે સહયોગ આપજો. મહિલાને એક રૂમમાં બેસીને વાત કરવા કહ્યુંજે બાદ વૃદ્ધાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી ઓળખ આપીને પ્રદીપ સાવન નામના વ્યક્તિએ વાત કરી હતી. જેમણે મહિલાને એફઆઈઆરની કોપી અને સુપ્રીમ કોર્ટનો એક લેટર વોટ્સએપ કરીને આપ્યો હતો. જે બાદ મહિલાને રૂમ બંધ કરી બેસીને વાત કરવાનું જણાવ્યું હતું અને મહિલાને કહ્યું હતું કે તમારી સામે પોનોગ્રાફીઓને ગંભીર ગુના છે, તેથી તમારી ધરપકડ કરવામાં આવી છે. વધુ 40 લાખની માગ કરતા વૃદ્ધાએ ફોન કાપી પુત્રને જાણ કરીવીડિયો કોલ ઉપર તમને હાજર રાખીને ઇન્વેસ્ટેશન કરીશું. તપાસ દરમિયાન તમારે તમારી પાસે રહેલા પૈસાનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, કહીને વૃદ્ધાને એક બેંક એકાઉન્ટમાં 15 લાખ જમા કરવાનું કહ્યું હતું, જેથી વૃદ્ધા એફડી તોડાવીને 15 લાખ જમા કરાવી આવ્યા હતા. જેમાં વૃદ્ધા પાસેથી વધુ નાણા ભરવાનું કહેતા વૃદ્ધાએ બેંક લોકરમાં રહેલા સોનાના દાગીના ગીરવે મૂકીને 9 લાખ પણ ભર્યા હતા. 24 લાખ ભર્યા છતાં પીસીસી લેટર મેળવવો હોય તો બીજા 40 લાખ ભરવા પડશે તેવું જણાવતા વૃદ્ધાએ ફોન કાપી નાખ્યો અને તેમના દીકરાને જાણ કરી હતી. વૃદ્ધાનો દીકરો આવતા આ અંગે સાયબર ક્રાઈમને જાણ કરીને જાણ કરીને ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:11 am

BCA ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ:રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ એક થયા બાદ સેક્રેટરી અજિત લેલેએ વીડિયો જાહેર કરી રિવાઇવલ ગ્રુપને સમર્થન આપ્યું

આગામી દિવસોમાં બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ની ચૂંટણી યોજવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષ એક બીજા સાથે ટક્કર થવાની હતી, પરંતુ રોયલ ગ્રૂપ અને સત્યમેવ જયતે ગ્રુપ એક થઈ જતા સત્તાપક્ષ સામે એક મોટો પડકાર સર્જાયો છે. ત્યારે આ ચૂંટણી સમીકરણોમાં ફરી મોટો ફેરફાર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે રોયલ ગ્રુપના પ્રભાવશાળી નેતા તથા હાલ બીસીએના સેક્રેટરી પદે રાજાજ કરતા અજિત લેલેએ એક વીડિયો જાહેર કરી રિવાઇવલ ગ્રુપને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ સામે મોટો પડકારઅજિત લેલેએ વિદેશમાંથી વીડિયો સંદેશા દ્વારા આ નિવેદન આપ્યું છે. તેમણે રિવાઇવલ ગ્રુપના મુખ્ય નેતાઓ પ્રણવ અમીન અને કિરણ મોરેને સીધો ટેકો આપ્યો હોવાનો વીડિયો જાહેર કર્યો છે. ત્યારે કહી શકાય કે ફરી એકવાર બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સત્તાપક્ષ વધુ મજબૂત સ્થિતિમાં આવ્યો છે અને ગઠબંધન કરનાર રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ સામે મોટો પડકાર ઊભો થયો છે. ચૂંટણીમાં રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવી શકે ઉલ્લેખનીય છે કે, માત્ર બે દિવસ પહેલાં જ રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધન થયાની જાહેરાત થઈ હતી, જેનાથી ચૂંટણીમાં ત્રિ-પાંખિયો મુકાબલો રહેવાની શક્યતા હતી. પરંતુ અજિત લેલેના આ સમર્થનથી રિવાઇવલ ગ્રુપની સ્થિતિ મજબૂત બની ગઈ છે અને ચૂંટણીમાં રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 11:03 am

જામનગરની જીયા ઉધાસે નેશનલ સ્કૂલ ગેમ્સમાં કૌવત દેખાડ્યું:17 વર્ષીય ક્રિકેટરે શિવપુરીમાં ગર્લ્સ અંડર-19 સ્પર્ધામાં શહેરનું ગૌરવ વધાર્યું

જામનગર, જે ક્રિકેટના કાશી તરીકે ઓળખાય છે, તેણે અનેક ક્રિકેટરો આપ્યા છે. હવે યુવતીઓ પણ ક્રિકેટ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ રોશન કરી રહી છે. આ કડીમાં જામનગરની જીયા નિલેશભાઈ ઉધાસે તાજેતરમાં મધ્યપ્રદેશના શિવપુરી ખાતે યોજાયેલી 69મી નેશનલ સ્કૂલ ગેમ્સ ક્રિકેટ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં 17 વર્ષીય જીયાએ ગર્લ્સ અંડર-19 ક્રિકેટ કેટેગરીમાં પોતાનું કૌવત દેખાડી જામનગર શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેના પ્રદર્શને આગામી સમયમાં ગુજરાત તેમજ દેશનું નામ રોશન કરવાની ક્ષમતા દર્શાવી છે. જીયા ઉધાસ લેફ્ટઆર્મ બોલિંગ અને રાઈટઆર્મ બેટિંગ કરે છે. ક્રિકેટ ઉપરાંત, તે કરાટેમાં પણ પારંગત છે અને 2022માં બ્લેક બેલ્ટ મેળવી ચૂકી છે. થોડા સમય પહેલા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં પણ તેણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેના આ પ્રદર્શનને કારણે, એવી શક્યતા છે કે થોડા વર્ષો બાદ આ યુવતીનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ થઈ શકે છે અને તે ગુજરાત તેમજ રાષ્ટ્રીય ટીમમાં પણ સ્થાન મેળવવા માટે મક્કમ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:59 am

વલસાડ SPએ પાંચ PSIની આંતરિક બદલી કરી:કાયદો વ્યવસ્થા સુધારવા નિર્ણય, ડેનિશ પટેલનો વિદાય સમારોહ યોજાયો

વલસાડ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત સાથે જ પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો થયા છે. જિલ્લા પોલીસ વડા (SP) યુવરાજસિંહ જાડેજાએ પાંચ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. આ બદલીઓનો મુખ્ય હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો તથા વિવિધ શાખાઓની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો છે. SP દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, PSI કે.એમ. સુવાગીયાને લીવ રિઝર્વમાંથી ભિલાડ પોલીસ સ્ટેશન ખાતે બદલવામાં આવ્યા છે. PSI એચ.કે. રાઠોડને લીવ રિઝર્વમાંથી વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ડી.એસ. પટેલની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. વાપી ઉદ્યોગનગર (GIDC) પોલીસ સ્ટેશનમાંથી ડી.કે. ત્રિપાઠીની સાયબર ક્રાઇમ શાખામાં બદલી કરાઈ છે, જ્યારે જિલ્લા ટ્રાફિક શાખામાંથી કે.કે. પરમારને વાપી GIDC પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે. આ તમામ બદલીઓ શુક્રવારે સાંજે અમલમાં મૂકાઈ હતી. આ બદલીઓના અનુસંધાને, વલસાડ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI ડેનિશ પટેલ (ડી.એસ. પટેલ)ની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બદલી થતાં, સીટી પોલીસ મથકે તેમના માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર દિનેશ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને જવાનો હાજર રહ્યા હતા. સહકર્મચારીઓએ PSI ડેનિશ પટેલ પર પુષ્પવર્ષા કરી તેમના કાર્યકાળની પ્રશંસા કરી હતી અને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ડેનિશ પટેલે પોતાના સંબોધનમાં સહકર્મચારીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વલસાડ સીટી પોલીસ મથકમાં મળેલા અનુભવને યાદગાર ગણાવ્યો હતો. SP દ્વારા લેવાયેલા આ વહીવટી નિર્ણયોથી જિલ્લામાં પોલીસિંગ વધુ મજબૂત બનશે અને સાયબર ક્રાઇમ સહિત વિવિધ શાખાઓની કામગીરીમાં ગતિ આવશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:53 am

ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનાર કમલેશ રાયને અમદાવાદ જેલમાં ધકેલાયો:9 મહિનામાં 2 ફરિયાદ છતાં સુધર્યો નહીં, ધો.12 સુધી ભણી વોર્ડ બોયમાંથી ડોક્ટર બની બેઠેલા સામે પાસા હેઠળ કાર્યવાહી

સુરતના લસકાણા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનાર એક બોગસ ડોક્ટર વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર કમલેશકુમાર ઉર્ફે કમલેશભાઈ રામદેવ રાય, જે મૂળ બિહારનો વતની છે, તે કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વગર પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો. આ બોગસ ડોક્ટર લસકાણા પોલીસ સ્ટેશનની હદમાં ગરીબ અને શ્રમિક પરિવારોની સારવારના નામે તેમના જીવન સાથે રમત રમી રહ્યો હતો. વોર્ડ બોયનું કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક શરૂ કર્યુંતપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આરોપી કમલેશ રાય ભૂતકાળમાં એક હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતો હતો. ત્યાં કામ કરતી વખતે તેણે દવાઓ અને સામાન્ય સારવારનું થોડું જ્ઞાન મેળવ્યું હતું. આ અનુભવના આધારે તેણે માનવતાને નેવે મૂકીને પોતે જ ડોક્ટર બની જવાનું નક્કી કર્યું અને પોતાનું અલગ દવાખાનું શરૂ કરી દીધું. વોર્ડ બોયમાંથી સીધો ડોક્ટર બની બેઠેલા આ ઠગ પાસે સારવાર માટે આવતા દર્દીઓને ખબર પણ નહોતી કે તેઓ જેની પાસે સારવાર લઈ રહ્યા છે, તેની પાસે કોઈ સત્તાવાર ડિગ્રી જ નથી. આ પણ વાંચો.... 'કમ્પાઉન્ડર'થી 'નકલી ડોક્ટર' બનવાની કહાણી, જેલમાંથી છૂટ્યા બાદ 'બેફામ' બન્યો બે વાર ફરિયાદ બાદ પણ પ્રેક્ટિસ ચાલુ રાખીઆરોપી કમલેશ રાય વિરુદ્ધ છેલ્લા નવ મહિનામાં લસકાણા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ FIR નોંધાઈ ચૂકી હતી. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવા છતાં, તે પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી રહ્યો હતો અને શ્રમિકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યો હતો. તેની આ સતત ગુનાહિત માનસિકતા અને લોકોના જીવ જોખમમાં મૂકવાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તેની સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું હતું. અંતે, લસકાણા પોલીસે પુરાવા એકત્ર કરી તેની ધરપકડ કરી હતી. પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયોપોલીસ કમિશનર દ્વારા આ બોગસ ડોક્ટર વિરુદ્ધ પાસા (PASA) હેઠળના હુકમની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ હુકમની બજવણી કરતા પોલીસે 44 વર્ષીય આરોપી કમલેશ રાયને અટકાયતમાં લઈને સુરતથી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપ્યો છે. આ કાર્યવાહીથી નકલી ડિગ્રીઓ ધારણ કરીને જનતાના સ્વાસ્થ્ય સાથે રમત રમતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:52 am

લગ્નના 6 મહિનામાં જ યુવાનજોધ પરિણીતા વૃદ્ધાશ્રમમાં જિંદગી વિતાવવા પહોંચી:પરિવારમાં તકરાર થતા ઘર છોડ્યું; 60 વર્ષના વડીલોને રાખવાના નિયમ વચ્ચે સંચાલકો મૂંઝાયા

કલોલ તાલુકામાં આવેલા માનવ ઉત્કર્ષ વૃદ્ધાશ્રમમાં સામાન્ય રીતે 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને આશ્રય આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક 27 વર્ષીય મહિલા પોતાની આખી જિંદગી વિતાવવા માટે આશ્રય માંગવા પહોંચી જતાં વૃદ્ધાશ્રમના સંચાલકો પણ મુઝવણમાં મુકાઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવાન મહિલા આશ્રય માટે આવતા સંચાલકો મુઝવણમાં મુકાયાઆજના આધુનિક યુગમાં પારિવારિક સંબંધોમાં આવતી કડવાશ અને યુવા પેઢીમાં ઘટતી જતી સહનશક્તિના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં બન્યો હતો. તાજેતરમાં કલોલ તાલુકામાં આવેલ માનવ ઉત્કર્ષ વૃદ્ધાશ્રમમાં એકાએક એક યુવાન મહિલા આશ્રય માટે પહોંચતા સંચાલકો મુઝવણમાં મુકાઈ ગયા હતા. છેલ્લા બે મહિનાથી પિયરમાં રહેતી હતીસામાન્ય રીતે ઘરડા ઘરમાં 60 કે તેથી વધુ વયના વડીલોને આશ્રય આપવામાં આવતો હોય છે, એવામાં જુવાનજોધ પરણિતા આસું સારતી આંખે વૃદ્ધાશ્રમના દ્વારે આવીને આખી જિંદગી વિતાવવાની તૈયારી દર્શાવી રહી હતી. એટલે સંચાલકોએ તેની આપવીતી સાંભળી તો જાણવા મળ્યું કે, પીડિતાના લગ્ન માત્ર છ મહિના પહેલા જ થયા હતા. લગ્નના થોડા જ સમયમાં સાસુ સાથે અણબનાવ અને સતત થતા ઝઘડાઓથી કંટાળીને તે છેલ્લા બે મહિનાથી પોતાના પિયરમાં રહેવા ગઈ હતી. પિતાએ પણ ઘરથી જાકારો આપ્યોજોકે, પિયરમાં પણ પીડિતાને તેના પિતા સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં તેના પિતાએ તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે તેવું કહી દીધું હતું. આમ સાસરી અને પિયરમાંથી પણ જાકારો મળતા તેણે કંટાળીને ઘર છોડી દીધું હતું. આખરે મુઝવણમાં મુકાયેલા સંચાલકોએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની મદદ માંગી હતી, જેના પગલે 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલા કાઉન્સેલર દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું . બાદમાં તેના પિતા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. પિતાએ સ્વીકાર્યું હતું કે, ઘરકામ બાબતે બોલાચાલીમાં આવેશમાં આવીને તેઓ આવું બોલી ગયા હતા અને તેઓ પોતાની પુત્રીને ઘરે લઈ જવા તૈયાર હતા. અભિયમની ટીમ મહિલાને સમજાવીબીજી તરફ અભયમની ટીમે પીડિતાને પણ જીવનના વ્યવહારુ પાસા સમજાવ્યા હતા. ટીમે તેને સમજાવ્યું કે ,નાની વાતમાં ઘર છોડવું એ ઉકેલ નથી અને ઘરકામ જેવી જવાબદારીઓ પરિવારનો હિસ્સો હોય છે. જોકે ઘણા પ્રયત્નો અને સમજાવટ છતાં પીડિતા હાલના સંજોગોમાં માનસિક રીતે ઘરે જવા તૈયાર નહોતી. જેથી 181ની ટીમ ધ્વારા પીડિતાને આખરે ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો છે. આ કિસ્સો એ વાસ્તવિકતા દર્શાવે છે કે, જ્યારે સંવાદની જગ્યાએ વિવાદ અને પ્રેમની જગ્યાએ ક્રોધ સ્થાન લે છે ત્યારે યુવા પેઢી અત્યંત જોખમી નિર્ણયો લેવા તરફ પ્રેરાય છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:44 am

મોરબીમાં ગુમ બાળકી મળી:હેલ્પલાઇન ટીમોએ પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

મોરબીમાં ગુમ થયેલી એક બાળકીનું 181 અભયમ હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને જનરક્ષક 112 ટીમના સંયુક્ત પ્રયાસોથી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. આ ઘટના મોરબી શહેરમાં બની હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક નાગરિકે ફોન કરીને માહિતી આપી કે આશરે બાર વર્ષની એક બાળકી રસ્તા પર એકલી મળી આવી છે અને તે રસ્તો ભૂલી ગઈ છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ રમીલાબેન અને પાયલોટ મહેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે બાળકીને સાંત્વના આપી અને તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, બાળકી ડરી ગયેલી હોવાથી શરૂઆતમાં કોઈ માહિતી આપી શકી ન હતી. આથી, 181 ટીમે ચાઇલ્ડ હેલ્પલાઇન (1098) અને જનરક્ષક (112) ટીમનો સંપર્ક કર્યો અને સંકલનમાં રહીને કામગીરી હાથ ધરી. બાળકીને રેસ્ક્યુ વાનમાં બેસાડી આસપાસના વિસ્તારોમાં લઈ જઈ તેનું સરનામું જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘણા પ્રયત્નો બાદ બાળકીના પરિવારજનો મળી આવ્યા હતા. કાઉન્સિલિંગ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું કે તેઓ ઓડિશાના વતની છે અને મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા આવ્યા છે. તેઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી તેમને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી અને રસ્તો ભૂલી ગઈ હતી. પરિવારજનો પણ બાળકી ગુમ થવાથી ચિંતિત હતા અને આસપાસના લોકોને પૂછપરછ કરી રહ્યા હતા. ટીમોએ બાળકીના તમામ આધાર પુરાવા મેળવી, પરિવારને કાયદાકીય માહિતી અને જરૂરી સલાહ-સૂચન આપ્યા હતા. આમ, ત્રણેય ટીમોની સંયુક્ત કામગીરીથી બાળકીનું તેના પરિવાર સાથે સફળતાપૂર્વક પુનર્મિલન થયું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:17 am

બાલભવન ફ્લાવર શોથી બન્યું રંગીન:અઢી લાખથી વધુ ફૂલો અને 25 ફ્લોટ્સ તૈયાર કરાયા, કાશ્મીરના તુલીપ ગાર્ડનની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ શહેરની મધ્યમાં આવેલા રેસકોર્સમાં બાલભવન ખાતે પ્રથમ વખત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શો 1 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલુ રહેવાનો છે. જેમાં 2.50 લાખથી વધુ ફૂલો તેમજ મિકી માઉસ, મોર અને હાથી, જેવા વિવિધ 25 જેટલા ફ્લોટ્સ અને કાશ્મીરના તુલીપ ગાર્ડનની ઝાંખી બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. બાલભવન રાજકોટ છેલ્લા 69 વર્ષથી બાળકો માટે અનેકવિધ પ્રવૃતિઓ ચલાવી રહ્યું છે. ખાસ વેકેશન મેળો, જન્માષ્ટમી મેળો, તેમજ બાલમહોત્સવ પણ બાળકોએ ઉત્સાહપૂર્વક માણ્યો હતો અને હવે ફ્લાવર શોમાં પણ મોટી સંખ્યામાં બાળકો આનો લાભ લઇ શકે તે માટે ખાસ શાળા કોલેજના વિદ્યાર્થીઓના સમૂહ માટે 50% ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખવામાં આવી છે. સામાન્ય કોઈ માણસ અહીં મુલાકાત લે તો તેમના માટે એન્ટ્રી ફી રૂપિયા 50 નક્કી કરવામાં આવી છે. હાર્ટ શેપ એન્ટ્રી એક્ઝિટ ગેટ રીલ બનાવવા મજબૂર કરશેબાલભવનનાં વિશાળ જોકર ગ્રાઉન્ડમાં 'ફ્લાવર શો'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોમાં અંદાજે 2.50 લાખથી વધુ આર્ટિફિશિયલ ફૂલોથી બાળકોને મનગમતા પશુ-પક્ષીઓ જેવા કે હાથી, મોર, બતક, કાચબા, હરણ અનેક પ્રકારની ચકલીઓ, મશરૂમ વગેરેની આબેહૂબ કલાકૃતિઓ કલરફૂલ ફૂલોથી કંડારવામાં આવી છે. સાથે જ શિવલીંગ અને કાશ્મીરનું તુલીપ ગાર્ડન તથા હાર્ટશેઈપ એન્ટ્રી એક્ઝીટ ગેઇટ જેવા આકર્ષણો બાળકો તથા સહેલાણીઓને સેલ્ફી રીલ બનાવવા મજબૂર કરે છે. બાળકો અવનવા ફૂલો વિશે માહિતગાર થશેબાલભવનની ટીમ તથા ઓરંગાબાદથી આવેલા કલા-કારીગરો દ્વારા સતત 18થી 20 દિવસ સુધી જહેમત ઉઠાવી ફલાવર શો તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્લાવર શોનાં માધ્યમથી બાળકો કંઈક નવું જાણે, નવું શીખે અવનવા ફૂલો વિષે માહિતગાર થવાની સાથે ફૂલો દ્વારા પણ સુંદર કલાકૃતિઓનું સર્જન થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવ્યું છે. એન્ટ્રી ફી 50 રૂપિયા, વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટદરરોજ સવારે 10 વાગ્યાથી શરૂ કરી રાત્રિના 11 વાગ્યા સુધી સહેલાણીઓ ફ્લાવર શોની મજા માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય સહેલાણીઓ માટે અહીં એન્ટ્રી ફી રૂપિયા 50 નક્કી કરવામાં આવી છે, પરંતુ જો કોઈ સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ સમૂહમાં અહીંયા મુલાકાત લેવા આવશે તો તેને 50% કન્સેશન પણ આપવામાં આવશે, જેના માટે સ્કૂલ સંચાલકો બાલભવન કાર્યાલય પર સંપર્ક કરી એન્ટ્રી બુકીંગ કરાવી શકશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:14 am

અમદાવાદમાં એકાએક ઠંડીનો ચમકારો, 5.3 ડિગ્રી પારો ગગડ્યો:નલિયા 5 ડિગ્રી સાથે સૌથી ઠંડું, 24 કલાકમાં મોટાભાગના શહેરોમાં 3થી 7 ડિગ્રીનો ઘટાડો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે કાશ્મીર પહોંચી ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં 3થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કચ્છના નલિયામાં પારો ગગડીને 5 ડિગ્રી પર પહોંચતા તે સિઝનનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે. જ્યારે અમદાવાદમાં 22 તારીખે લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે છેલ્લા 24 કલાકમાં ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે. એટલે કે શહેરમાં સીધો 5.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ઉત્તરમાં થયેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો ગરમ કપડાંના સહારે જોવા મળી રહ્યા છે. આગામી એકાદ દિવસ સુધી ઠંડી યથાવત્ રહેવાની શક્યતાહવામાન વિભાગના અનુમાન મુજબ, ઉત્તરથી આવતી ઠંડી હવા અને પવનની ગતિને કારણે આગામી એકાદ દિવસ સુધી ઠંડી યથાવત્ રહેવાની શક્યતા છે. વહેલી સવાર અને મોડી રાતે લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ રહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, લોકો ગરમ કપડાંના સહારે હવામાન નિષ્ણાંત એ.ટી દેસાઈના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં અત્યારે કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 5થી 9 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. લોકો ગરમ કપડાંના સહારે જોવા મળી રહ્યા છે. ઉત્તરમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનું જોર વધ્યું છે. આગામી 24 અને 25 જાન્યુઆરીએ આ ઠંડી હજુ પણ જળવાઈ રહેશે. 28-29 જાન્યુઆરી બાદ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશેઠંડીનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે થયેલા સ્નોફોલ અને ઠંડા પવનો છે. તાપમાનમાં રાજ્યના વિવિધ ભાગોમાં 5થી 9ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં 26 જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન થોડું વધશે અને ઠંડીમાં કામચલાઉ રાહત મળશે. ઠંડીનો બીજો રાઉન્ડ 28-29 જાન્યુઆરી બાદ ફરી એકવાર શરૂ થવાની શક્યતા છે. આમ, 26 જાન્યુઆરીથી બે-ત્રણ દિવસ માટે ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ જાન્યુઆરીના અંતમાં ફરી એકવાર ઠંડી પોતાનું જોર બતાવશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:59 am

સતાપરમાં 108 ટીમે એમ્બ્યુલન્સમાં કરાવી સુરક્ષિત પ્રસૂતિ:108 ટીમની સમયસૂચકતાથી શ્રમિક મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો

કલ્યાણપુર તાલુકાના સતાપર ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે સમયસૂચકતા વાપરી એક શ્રમિક મહિલાની એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી છે. મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો, જેને પગલે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સતાપર ગામના વાડી વિસ્તારમાં રહેતી એક શ્રમિક મહિલાને ત્રીજી ડિલિવરી સમયે અચાનક અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડી હતી. આ અંગેની જાણ થતાં જ વિસાવાડા ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસૂતાની પીડા વધી જતાં અને સ્થિતિ જોખમી જણાતા, ૧૦૮ના ઈ.એમ.ટી. ઉદય ઓડેદરા અને પાયલોટ દીપક ભાદરકાએ સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ટીમે હેડ ઓફિસના ફિઝિશિયન ડો. શાલુ મેમના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. આ પ્રયાસને અંતે મહિલાએ તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો હતો. નવજાત શિશુ અને માતાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે કલ્યાણપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સરાહનીય કામગીરી બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ સર અને જિલ્લા એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથીએ વિસાવાડા ૧૦૮ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:53 am

મામાના દીકરાએ દુષ્કર્મ આચર્યું:સુરેન્દ્રનગરની યુવતીને લગનની લાલચ આપી કૌટુંબિક ભાઈએ જ દુષ્કર્મ આચર્યું, નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે યુવતીના મામાના દીકરાએ જ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચાર્યું હતું. યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ રાજકોટમાં કોઈ અન્ય છોકરી સાથે સગાઈ કરી લીધી હતી. જે અંગે યુવતીને જાણ થતા યુવતીએ યુવક વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીના જન્મદિવસ પર મળવા આવ્યો હતો યુવકસુરેન્દ્રનગરમાં રહેતી 21 વર્ષની યુવતી અભ્યાસ માટે નવરંગપુરા વિસ્તારમાં કેટલાક સમયથી રહેતી હતી. યુવતી ગત વર્ષે જ્યારે ઘરે ગઈ હતી ત્યારે યુવતીના મમ્મીના માસીના દીકરાનો દીકરો જય યુવતીના ઘરે રહેતો હતો. યુવતી જ્યારે અમદાવાદ પરત આવી ત્યારે જયે યુવતીને ફોન કરવાનું શરૂ કર્યું હતું. યુવતી સાથે અવારનવાર વાતચીત કરીને જયે કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરીશ. જેથી યુવતી જયની વાતોમાં આવી ગઈ હતી. 11 ઓગસ્ટના રોજ યુવતીનો જન્મદિવસ હોવાથી તેને મળવા જય અમદાવાદ આવ્યો હતો. યુવતી ઘરે ગઈ ત્યારે ખબર પડી કે જયની સગાઈ થઈ ગઈ છેઓગસ્ટ,સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં જય અવારનવાર અમદાવાદ આવતો હતો. આ દરમિયાન જયે યુવતીને નવરંગપુરાની એક હોટલમાં લઈ જઈને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.થોડા સમયમાં યુવતી તેના ઘરે જતી રહી હતી. યુવતી ઘરે ગઈ ત્યારે તેને જાણ થઈ હતી કે જયની રાજકોટમાં કોઈ છોકરી સાથે સગાઈ થઈ ગઈ છે. જેથી યુવતીએ જયને ફોન કર્યો ત્યારે જયે કહ્યું હતું કે આ વાત ભૂલી જા. આ અંગે યુવતીએ તેના મમ્મી પપ્પા અને મામાને વાતચીત કરી હતી. જે બાદ યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જય વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:51 am

પાટણના યુવાને યુ.કે. વર્ક વીઝા માટે 16 લાખ ગુમાવ્યા:કન્સલ્ટન્ટે ઇન્ટરવ્યુ રદ કરી છેતરપિંડી આચરી, પોલીસ ફરિયાદ

પાટણના 27 વર્ષીય જયેશ મોતીજી ચૌધરીએ યુ.કે.ના વર્ક પરમિટ વીઝા અપાવવાના બહાને રૂ. 16 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નડિયાદની ઓવરસીસ એજ્યુકેશન કન્સલ્ટન્સીના સંદીપ નવીનચંદ્ર પટેલ અને અમદાવાદના અભિષેકભાઈ વિરુદ્ધ પાટણ 'બી' ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે બીએનએસ 316(2)/ 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. જયેશ ચૌધરીએ પોલીસને જણાવ્યું કે, તેમણે 27 જુલાઈ, 2024ના રોજ સંદીપ પટેલનો સંપર્ક કર્યો હતો. નડિયાદ જઈને વર્ક વીઝા અંગે વાતચીત કર્યા બાદ સંદીપે તેમના શૈક્ષણિક અને અન્ય દસ્તાવેજો માંગ્યા હતા. સંદીપે યુ.કે. વર્ક વીઝાની ફાઈલ માટે રૂ. 18 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. આ પછી, જયેશે 21 નવેમ્બર, 2024ના રોજ સંદીપની ઓફિસે રૂ. 13.80 લાખ રોકડા ચૂકવ્યા હતા. સંદીપે તેમને ઇન્ટરવ્યુ માટે જવાનું થશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ, સંદીપે જયેશને ઇન્ટરવ્યુની તાલીમ માટે અમદાવાદ આવવાનું કહ્યું. જયેશ 24 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદના નિકોલ ખાતે અભિષેકની ઓફિસે ગયા અને 3 જાન્યુઆરી, 2025 સુધી ઇન્ટરવ્યુની તાલીમ લીધી. જયેશનો ઇન્ટરવ્યુ 30મી તારીખે નિર્ધારિત હતો, પરંતુ ઇન્ટરવ્યુના થોડા સમય પહેલાં જ તેમને ઇમેલ દ્વારા ઇન્ટરવ્યુ રદ થયાની જાણ કરવામાં આવી અને નવી તારીખની રાહ જોવા કહેવાયું. નવી તારીખ 11 ફેબ્રુઆરી, 2025 આપવામાં આવી, પરંતુ સંદીપે જયેશને ખોટી રીતે ઇન્ટરવ્યુ આપવાનું કહ્યું. જયેશે આ વાતનો ઇનકાર કર્યો અને અમદાવાદમાં યુ.કે.ની વી.એ.એસ. ખાતે સાચી રીતે ઇન્ટરવ્યુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પછી, સંદીપે જયેશને રૂ. એક લાખ આપીને દસ્તાવેજો પાછા લઈ જવા જણાવ્યું. જયેશે દસ્તાવેજો માટે સંદીપનો સંપર્ક કર્યો, ત્યારે સંદીપે 15 દિવસનો સમય આપ્યો. ત્યારબાદ, સંદીપનો ફોન બંધ આવવા લાગ્યો. જયેશ નડિયાદ ખાતેની સંદીપની ઓફિસે રૂબરૂ ગયા, જ્યાં સંદીપે 20 દિવસનો સમય માંગ્યો, પરંતુ પછીથી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. અભિષેકે પણ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા જયેશને છેતરપિંડીની શંકા ગઈ અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:25 am

જૂનાગઢના ઈન્ફ્લુએન્સરને 'રીલ'નું વળગણ 'રીયલ'માં નડ્યું:દારૂને લગતા વીડિયો બનાવવાના શોખીન હિરેન પટેલે નશામાં અકસ્માત સર્જ્યો, મહિને બે વખત રીલ બનાવવા સુરત આવતો

સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લ્હાય અને કાયદાનો ડર ન હોવાના પરિણામે સુરતના રસ્તા પર વધુ એક નશાખોરનો આતંક જોવા મળ્યો હતો. જૂનાગઢના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે સુરતમાં નશાની હાલતમાં લકઝરી કાર હંકારી અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ છે. હજારો ફોલોવર્સ ધરાવતા આ યુવકની 'રીલ લાઈફ' હવે તેની 'રીયલ લાઈફ' માટે મુસીબત બની ગઈ છે. જુનાગઢનો ઈન્ફ્લુએન્સર હિરેન બુહા દર મહિને બે વખત રીલ બનાવવા માટે સુરત આવતો હતો. 22મી તારીખે તે મોટા વરાછામાં એક જાહેરાતનો વીડિયો બનાવવા આવ્યો હતો. આ પહેલાં તે સવારે મિત્ર સાથે કારમાં દમણ ગયો હતો, જ્યાં તેણે રીલ બનાવી હતી. દમણથી સાંજે સુરત પરત ફર્યા બાદ હિરેન બુહાએ મોટા વરાછામાં રીલ બનાવી હતી. જે બાદ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, જૂનાગઢનો રહેવાસી અને સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ ધરાવતો 28 વર્ષીય હિરેન પટેલ (બુહા) સુરતની મુલાકાતે હતો. રાત્રિના સમયે તે ઉમરા વિસ્તાર તરફથી પોતાની કાર લઈને આવી રહ્યો હતો. જ્યાં મોટા વરાછા દુખિયારા દરબાર રોડ પરથી પસાર થતી વખતે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તરત જ એકઠા થઈ ગયા હતા. નશામાં ધૂત ઈન્ફ્લુએન્સરને જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યોઅકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકોએ ડ્રાઈવરની સીટ પર બેઠેલા હિરેન પટેલને બહાર કાઢ્યો, ત્યારે તે નશામાં ચકચૂર જોવા મળ્યો હતો. તે સરખી રીતે ઊભો પણ રહી શકતો નહોતો. નશામાં ધૂત ઈન્ફ્લુએન્સરને જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ઘટનાસ્થળે જ લોકોએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો. મોટાભાગના વીડિયો દારૂ પીવાને લગતા અથવા દારૂ સાથેની કોમેડીનાહિરેન પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. 7 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા આ ઈન્ફ્લુએન્સરના મોટાભાગના વીડિયો દારૂ પીવાને લગતા અથવા દારૂ સાથેની કોમેડીના છે. તે સતત દારૂને ગ્લોરીફાય કરતી રીલ્સ બનાવીને કમાણી કરતો હતો. જે વીડિયો તે મનોરંજન માટે બનાવતો હતો, તે જ વ્યસને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ ગુનો નોંધી હિરેનની ધરપકડઆ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ દિગ્વિજય બારડે જણાવ્યું હતું કે, આરોપી હિરેન પટેલ મૂળ જૂનાગઢનો વતની છે અને સુરતમાં અવરજવર કરતો રહે છે. અકસ્માત સમયે તે દારૂના નશામાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા સ્ટાર્સ માટે લાલબત્તી સમાન કિસ્સોઆ કિસ્સો સોશિયલ મીડિયા પર જાણીતા બનતા યુવાનો માટે એક મોટો બોધપાઠ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિયતા મેળવવા માટે ઘણીવાર યુવાનો ખોટા રસ્તે વળે છે અથવા વ્યસનોને પ્રોત્સાહન આપે છે. હિરેન પટેલની 'રીલ' લાઈફમાં દારૂ પીને કોમેડી કરવી આજે તેની વાસ્તવિક જિંદગીમાં અંધકાર લઈ આવી છે. સુરત પોલીસે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે જેથી અન્ય કોઈ આવી બેદરકારી દાખવતા પહેલા સો વાર વિચારે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:05 am

કવાંટ પાસે ST બસ-ટ્રક અકસ્માત: 3 ગંભીર ઇજાગ્રસ્ત:મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 40 મુસાફરોને સામાન્ય ઇજા, જાનહાનિ ટળી

કવાંટ તાલુકાના ખાંડણિયા પાસે ગત મોડી રાત્રે એસટી બસ અને આઇશર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવર, કંડક્ટર અને ટ્રકના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. છોટા ઉદેપુરથી ગોંડલ જતી એસટી બસ અને સામેથી આવતી આઇશર ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ ભયાવહ ટક્કરમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટરને 108 એમ્બ્યુલન્સ મારફતે કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા. જ્યાંથી કંડક્ટરને વધુ સારવાર માટે બોડેલી ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે આઇશર ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને રાહદારીઓએ પતરાં કાપીને ડ્રાઇવરને બહાર કાઢી કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યો હતો. આ અકસ્માતમાં એસટી બસમાં સવાર આશરે 40 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સદભાગ્યે, કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:54 am

સુરતમાં ‘તડકેશ્વર ટાંકી પાર્ટ-2’ની રાહ જોતું તંત્ર:વડોદ વિસ્તારની પાણીની ટાંકી 10 વર્ષમાં એકદમ જર્જરીત, ગમે ત્યારે પડી શકે: AAP

હજુ 3 દિવસ પહેલા જ સુરતના માંડવી પાસે આવેલા તડકેશ્વરની પાણીની ટાંકી બન્યાને ટેસ્ટીંગમાં જ પડી ગઈ હતી. જે આખા ગુજરાતના પ્રશાસન માટે કાળા ધબ્બા સમાન ઘટના હતી. એ ઘટના બાદ રાજ્ય સરકારે નીચા જોણું થયું હતું, અને હજુ પણ તેમાં રોજ કંઈક ને કંઈક નવો ઘટસ્ફોટ થયા જ કરે છે. આવો જ એક પાણીની ટાંકીવાળો કિસ્સો સુરતમાં પણ આજે જોવા મળ્યો. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17 ના કાઉન્સિલર ધર્મેશ ભંડેરીએ આજે વડોદની મુલાકાત લીધી હતી. ત્યાં જઈ તેમના ધ્યાને આવ્યું કે, વડોદ ગામની પાણીની ટાંકી એકદમ જ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડી શકે છે. ટાંકીનું લોકાર્પણ 2015માં તત્કાલીન મેયરે કર્યું હતુંઃ AAPધર્મેશ ભંડેરીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનને 30 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને આ સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણો સામે આવ્યા છે. વડોદ વિસ્તારની પાણીની ટાંકી, જેનું લોકાર્પણ 21 ઓગસ્ટ, 2015ના રોજ તત્કાલીન મેયર નિરંજનભાઈ ઝાંઝમેરાના હસ્તે કરવામાં આવ્યું હતું, તે માત્ર 10 વર્ષ અને 5 મહિના એટલેકે સાડા દસ વર્ષમાં જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે, ટાંકીની હાલત એવી છે કે તે કોઈ પણ સમયે ધરાશાયી થવાની શક્યતા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું છે. ટાંકીને ઉતારી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માગધર્મેશ ભંડેરીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, સુરત શહેરના નાગરિકો પોતાના પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે, તો શું એ માટે કે અસુરક્ષિત અને આ પ્રકારનાં કામો કરવામાં આવે? આ ટાંકીની હાલત સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ગુણવત્તાવિહિન કામ અને ભ્રષ્ટાચારને કારણે જાહેર સંપત્તિ બગડી રહી છે. ધર્મેશ ભંડેરીએ આ મુદ્દે માગ કરી હતી કે, વડોદની પાણીની ટાંકીની તાત્કાલિક તકનીકી તપાસ કરવામાં આવે. નાગરિકોની સુરક્ષા માટે જરૂરી હોય તો ટાંકી ઉતારી લેવામાં આવે અને ભ્રષ્ટાચાર માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છેઃ પાણી સમિતિ ચેરમેન તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સુરત જિલ્લાના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટના બાદ પણ સુરતના તંત્રએ શીખ નથી લીધી. પાણી સમિતિ ચેરમેન હિમાંશુ રાઉલજીને ટાંકી બાબતે પૂછવામાં આવતા જણાવ્યું કે, પાણીની ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ બંધ પડેલી ટાંકી પણ તંત્ર ઉતારવા માટે આળસ ખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:35 am

પ્રજાસત્તાક દિને વિતેલા જમાનાની શાનદાર વિન્ટેજ કારની રેલી

કાશ્મીરના મહારાજાની ૧૦૦ વર્ષ પુરાણી રોલ્સ-રોયલ જોવા મળશે આજે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પુરાણી મોટરકારના પ્રદર્શનમાં ૧૭૫ કાર અને ૫૦ ટુ-વ્હીલર પ્રદર્શિત મુંબઇ - પ્રજાસત્તાક દિન નિમિત્તે સોમવારે સવારે દક્ષિણ મુંબઇમાં વિતેલા જમાનાની શાનદાર બહુમૂલ્ય વિન્ટેજ તથા કલાસિક કારની રેલી મુંબઇગરા જોઇ શકશે. વિન્ટેજ એન્ડ કલાસીક કાર કલબ ઓફ ઇન્ડિયા દ્વારા વાર્ષિક વિન્ટેજ કાર ફિયેસ્ટા-૨૦૨૬ અંતર્ગત રેલી અને કાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે શનિવારથી રવિવાર સુધી વર્લ્ડ ટ્રેડ સેનેેટરમાં વિન્ટેજ અને કલાસિક કારનું પ્રદર્શન યોજાયું છે.

ગુજરાત સમાચાર 24 Jan 2026 7:55 am

પલાશ મુચ્છલ સામે ફિલ્મ નિર્માણના નામે 40 લાખની છેતરપિંડીની ફરિયાદ

સાંગલીના સ્મૃતિ મંધાનાના પરિચિતે પોલીસ ફરિયાદ આપી પલાશ પાસે પૈસા માગ્યા તો નંબર બ્લોક કરી દીધોઃ સ્મૃતિ મંધાનાના નામે પૈસા પડાવતો હોવાનો આરોપ મુંબઈ - ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટોચની પ્લેયર સ્મૃતિ મેધાના અને પલાશ મુચ્છલના લગ્ન અચાનક કેન્સલ થયા બાદ એવા સમાચારો અને અટકળ વહેતી થઈ હતી કે પલાશ સ્મૃતિને ચીટ કરી રહ્યો હતો. ત્યાર બાદ લગભગ બન્નેએ ચુપકીદી સેવી લીધી હતી. આ વચ્ચે હવે સાંગલીના એક ઉદ્યોગપતિ અને ફિલ્મ નિર્માતા તેમ જ અભિનેતા વિધાન માનેએ મ્યુઝિક કંપોઝર પલાશ સામે ૪૦ લાખ રૃપિયાની છેતરપિંડીનો આરોપ કરતા ખળભળાટ મચી ગયો છે.

ગુજરાત સમાચાર 24 Jan 2026 7:55 am

દક્ષિણ મુંબઈના વૃદ્ધ વેપારીએ સ્ટોક ફ્રોડમાં 11 કરોડ ગુમાવ્યા

ફ્રોડસ્ટરોએ નકલી એપ અને બનાવટી નફો દેખાડયો ભારતીય અને અમેરિકી શેરબજાર ખુલે તેની ૧૫ મિનીટ વહેલી એક્સેસ આપવા જેવા દાવા કર્યાઃ પૈસા ઉપાડવા પ્રયાસ કર્યો તો વધુ આઠ કરોડ માગ્યા મુંબઈ - મુંબઈમાં 'ડિજિટલ એરેસ્ટ' અને શેર ટ્રેડિંગ એપમાં દરરોજ કરોડો રૃપિયાનું ફ્રોડ થાય છે. આવી ઘટનામાં વધુ ઉમેરો કરતી એક ઘટના દક્ષિણ મુંબઈના ચર્ચગેટમાં બની છે. જેમાં ૬૮ વર્ષના એક વૃદ્ધ વેપારીએ શેર ટ્રેડિંગ કૌભાડમાં ૧૦.૯૮ કરોડ રૃપિયાની રકમ ગુમાવી હતી.

ગુજરાત સમાચાર 24 Jan 2026 7:50 am

ટ્રમ્પ 2.0 : ભારત સાથે દોસ્તીના નામે દગાબાજી પર ઉતર્યું અમેરિકા

- ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં ભારત સાથે મિત્રતાની દાંડીઓ પીટી અને બીજા કાર્યકાળમાં ભારતને હળહળતા અન્યાય કર્યા - ગત ફેબ્રુઆરીમાં ટ્રમ્પે ભારતના વડા પ્રધાન મોદીને વ્હાઈટ હાઉસ ખાતે આવકાર્યા હતા. ત્યાં તેમણે ડિફેન્સ, ટેક્નોલોજી અને ટ્રેડ સેક્ટરમાં મજબૂત ભાગીદારીની જાહેરાતો કરી હતી. તેમણે એકબીજાના વિશ્વાસ અને હિતોના રક્ષણની વાતો કરી અને એપ્રિલમાં ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ ઝિંકી દીધો : ઓગસ્ટ મહિનામાં અમેરિકાએ ભારત ઉપર બીજો વધારાનો ૨૫ ટકા ટેરિફ નાખી દીધો. ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ કરી રહ્યું હોવાનું બહાનું આગળ ધરીને તેણે આ ટેરિફ ઝિંકી દીધો હતો. નવાઈની વાત એ હતી કે, અમેરિકા જેને દુશ્મન ગણે છે તે ચીન ઉપર પણ 32 ટકા જ ટેરિફ હતો જ્યારે ભારત ઉપર 50 ટકા ટેરિફ આવી ગયો : જાણકારો માને છે કે, ભારતની નિષ્ફળ નીતિઓ અને પાંગળી વિદેશનીતિને પગલે ભારતને અમેરિકાએ દબાવ્યું છે અને તેનું સમયાંતરે અપમાન કરવાના પ્રયાસ કર્યા છે જે ભૂતકાળમાં ક્યારેય થયું નથી

ગુજરાત સમાચાર 24 Jan 2026 7:00 am

સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકીથી વાલીઓની ધ્રૂજારી છૂટી, VIDEO:પળેપળે શ્વાસ થંભાવી દેતો એ સમય અને દોડધામ, અમદાવાદીઓને કેવો કેવો ડર લાગ્યો?

શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ બાળાઓને શાળામાંથી રજા આપી દેવામાં આવે છે. જેના માટે બાળકોના વાલીઓ પણ નોકરી, ધંધો મૂકીને શાળા તરફ દોટ મૂકતા હોય છે. જ્યારે શાળાને બોમ્બથી ઉડાવી ધમકી અપાઈ છે તેવી મેસેજ મળતા જ વાલીઓને મનમાં શું વિચાર શરૂ થઈ જતા હોય છે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો છે. વાલીઓમાં ફફડાટ ને શ્વાસ થંભાવી દે તેવા દ્રશ્યોઅમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પળેપળે શ્વાસ થંભાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોતાના સંતાનોની સલામતીને લઈને ચિંતિત વાલીઓમાં ડર અને ધ્રૂજારી જોવા મળી હતી, જેના કારણે શાળાઓ બહાર અફરાતફરી અને ભારે દોડધામના માહોલ વચ્ચે વાલીઓ પોતાના બાળકોને લેવા દોડી આવ્યા હતા. એક મેઈલથી હજારો લોકોના જીવ તાળવે ચોંટ્યા અમદાવાદ શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેઇલ શાળાઓ અને વાલીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે. છેલ્લા એક મહિનામાં બીજી વખત શહેરની 15 કરતા વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ મળ્યો હતો. એક મેઈલ મળતા જ હજારો લોકોના જીવ તાળવે ચોટી જતા હોય છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:00 am

RMCને 'સુપ્રીમ' ફાયદો, રૂ. 22 કરોડની પેનલ્ટી નહિ ભરવી પડે!:નાકરાવાડીમાં કચરાનાં ઢગલા મુદ્દે સુપ્રીમ કોર્ટનો સ્ટે; અરજદારે કહ્યું-નાદાર થયેલી એજન્સીને તંત્ર છાવરે છે

રાજકોટ મહાનગરપાલિકાને તાજેતરમાં જ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) દ્વારા નાકરાવાડીમાંથી કચરાનો યોગ્ય નિકાલ નહીં કરવા અને પ્રદૂષણ ફેલાવવા મામલે રૂપિયા 22.5 કરોડની પેનલ્ટી ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ અંગે મનપાએ પણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં કોર્ટે આ પેનલ્ટી ભરવા સામે સ્ટે આપી દીધો છે. હાલ મનપાને આ રકમ ભરવામાંથી મુક્તિ મળી છે. જોકે, સમગ્ર મામલે અરજદાર શૈલેન્દ્રસિંહ જાડેજાનું કહેવું છે કે, કચરાનો નિકાલ કરવામાં નિષ્ફળ તેમજ નાદાર થયેલી કંપનીને તંત્ર છાવરે છે, સુપ્રીમ કોર્ટનાં સ્ટેની લેખિતમાં જાણકારી મળતા જ હું જવાબ આપીશ. નાકરાવાડીમાં 7.5 લાખ ટન કચરો એકત્ર થતા ફરિયાદરાજકોટ શહેરમાંથી એકત્ર થતા તમામ કચરાને હાલમાં નાકરાવાડી ખાતે લઈ જવામાં આવે છે. જ્યાંથી કચરાને પ્રોસેસ કરી નિકાલ કરવાની કામગીરી મનપા એજન્સી દ્વારા કરાવે છે. જોકે અહીં અંદાજે 20 એકરમાં 7.5 લાખ ટન કચરો એકત્ર થતા જાગૃત નાગરિક શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)માં ફરિયાદ કરાઈ હતી. NGTએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)માં રૂ. 22.5 કરોડની પેનલ્ટી ભરવા આદેશ આપ્યા હતા. આ અંગે મનપાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં મનપાનાં વકીલની દલીલો માન્ય રાખી કોર્ટે આ પેનલ્ટી ભરવા સામે સ્ટે આપી દીધો છે. એટલે કે, હાલ પૂરતી તો મનપાને રૂ. 22.5 કરોડની રાહત મળી છે. NGTએ રૂ. 22.5 કરોડની પેનલ્ટી ભરવા આદેશ કર્યો હતોઃ અધિકારીઆ મામલે રાજકોટ મહાનગરપાલિકાનાં પર્યાવરણ વિભાગના અધિકારી પ્રજેશ સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નાકરાવાડી ખાતે કચરાનાં નિકાલની કામગીરી શરૂ નહીં થતા લેગસી વેસ્ટ એકત્ર થયો હતો. આ મામલે રાજકોટનાં એક નાગરિક દ્વારા NGTમાં અરજી કરવામાં આવી હતી, જેને લઈને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે 7.5 લાખ ટન વેસ્ટ નાકરાવાડી ખાતે પડ્યો હોવાને લઈ રૂ. 22.5 કરોડની પેનલ્ટી ભરવા આદેશ કર્યો હતો. જોકે આ હુકમ થયા પહેલા જ તંત્ર દ્વારા લેગસી વેસ્ટનાં નિકાલ માટે ટેન્ડર કરી દેવાયુ હતું, જેનો ખુલાસો સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવતા નામદાર અદાલત દ્વારા અમને સ્ટે આપવામાં આવ્યો છે. ‘હાલ લેગસી વેસ્ટનાં નિકાલની કામગીરી પુરજોશમાં’મહાનગરપાલિકા દ્વારા લેગસી વેસ્ટનાં નિકાલ મામલે હાલ કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, અંદાજે 20 એકરમાં રહેલા લેગસી વેસ્ટનાં નિકાલ માટે મનપા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. કુલ 7.50 લાખ ટન કચરાનાં નિકાલ માટે પ્રતિ ટન 487 રૂપિયા ભાવ લેખે 36 કરોડનો ખર્ચ થનાર છે. આ ખર્ચ પણ મનપાને ન કરવો પડે તેના માટે સ્વચ્છ ભારત મિશન તેમજ 15માં નાણાપંચની ગ્રાન્ટ લેવામાં આવી છે. હાલ લેગસી વેસ્ટનાં નિકાલની કામગીરી ત્યાં પુરજોશમાં ચાલી રહી છે. એકાદ મહિનામાં ત્યાંથી અંદાજે 15% કચરાનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. કંપની નાદાર થઈ ચૂકી હોવા મનપાએ પગલા ન લીધાઃ અરજદારબીજીતરફ આ અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં અરજી કરનારા જાગૃત નાગરિક અને એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નાકરાવાડીમાં મનપાએ 2020માં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કરવાનો હતો, જે આજે 2026 સુધી થયું નથી. આ માટે એબેલોન ક્લીન એનર્જીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો, જેણે ગુડવોટ્સ વેસ્ટ ટુ એનર્જી નામથી એગ્રીમેન્ટ કર્યો હતો. જોકે આ કંપની નાદાર થઈ ચૂકી હોવા છતાં મનપા તેને છાવરે છે. તેની સામે કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. આ બાબતે તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ‘6 માસ દરમિયાન એકત્ર થનારા નવા કચરાનું શું થશે?’મનપા દ્વારા હાલમાં માત્ર લેગસી વેસ્ટનાં નિકાલ અંગે વાત કરવામાં આવે છે. આ એવો કચરો છે જે ઘણા સમયથી સાઇટ ઉપર પડ્યો છે, જેને હટાવવા હાલમાં મનપા દ્વારા મસમોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તંત્ર કહે છે કે, આગામી 6 મહિનામાં જૂનો કચરો હટાવવામાં આવશે. પરંતુ આ સમયગાળા દરમિયાન એકત્ર થનારા નવા કચરાનું શું થશે? દૈનિક ધોરણે એકઠા થતા આ કચરાનાં નિકાલ માટે જે કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો, તે કંપની કામ કરતી નથી. આમ છતાં તંત્ર તેને છાવરે છે. આ કંપની નાદાર થતા રૂ. 22.5 કરોડનો ખર્ચ કોર્પોરેશન તંત્ર માથે આવ્યો છે. ત્યારે આ કંપની પાસેથી વસુલવામાં આવે તેવી અમારી માગ છે. ‘કંપનીને લઈ ઇરડા અને વર્લ્ડ બેંકમાં પણ મેં પત્ર લખી જાણ કરી’તાજેતરમાં જાન્યુઆરીમાં સંસદમાં પણ આ કંપનીનું નામ ડિફોલ્ટર તરીકે આવ્યું છે. 2024-25માં જ કંપનીએ ઇરડા પાસેથી જુદા-જુદા નામે સૌથી મોટી રૂ. 481 કરોડની લોન લીધી હતી અને ઇરડાનાં છેલ્લા 5 વર્ષના 800 કરોડ રૂપિયાનાં NPAમાં રૂ. 481 કરોડ આ કંપનીનાં હતા. આ માટે ઇરડા અને વર્લ્ડ બેંકમાં પણ મેં પત્ર લખીને જાણ કરી હતી, જેમાં ઇરડા તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. પરંતુ વર્લ્ડ બેંકમાં જાણ કર્યા બાદ ઇરડા દ્વારા આ કંપનીને એનપીએ જાહેર કરવામાં આવી હતી, છતાં કંપની સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. ‘નોટિસ મળ્યા પછી સુપ્રીમ કોર્ટને તમામ બાબતોથી અવગત કરાશે’સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટે અંગે તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોય છે. અત્યારે ઓનલાઈન હિયરિંગ થયું છે, જેમાં સુપ્રીમ કોર્ટે મનપાને સ્ટે આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે ઇન્ટરીમ નોટિસ મળે ત્યાં સુધીનો છે. આ અંગેની નોટિસ મને મળ્યા પછી લીગલી સુપ્રીમ કોર્ટમાં આ સ્ટે રદ્દ કરવા માટેનો જવાબ અપાશે. જેમાં દૈનિક ધોરણે એકત્ર થતા કચરા અંગે શું કરવામાં આવશે? અને ફડચામાં ગયેલી એબેલોન ક્લીન એનર્જી નામની કંપનીએ કામ બંધ કર્યું તેની સામે કાર્યવાહી કેમ થઈ નથી. તેમજ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી, તેના માટે કોઈ કામગીરી થઈ નથી. આ તમામ બાબતોથી સુપ્રીમ કોર્ટને અવગત કરવામાં આવશે. આગામી સમયમાં શું નિર્ણય આવે તો જોવું રહ્યું!ઉલ્લેખનીય છે કે, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રૂ. 22.5 કરોડની પેનલ્ટી ભરવા મામલે હાલ તો સ્ટે આપવામાં આવ્યો છે. મનપા દ્વારા લેગસી વેસ્ટ એટલે કે લાંબા સમયથી 20 એકરમાં પડેલા 7.5 લાખ ટન કચરાનો નિકાલ કરવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. એટલુ જ નહીં 6 મહિનામાં આ કચરાનો નિકાલ કરવાની ખાતરી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. જોકે અરજદાર શૈલેન્દ્રસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ આ 6 મહિના દરમિયાન આવનારા કચરાનો નિકાલ કરવા માટે પગલાં ભરવા જરૂરી છે. એટલું જ નહીં સંસદમાં ચર્ચાઈ ચુકેલી અને નાદાર જાહેર થયેલી કંપની સામે મનપા દ્વારા અત્યાર સુધી કોઈ પગલાં કેમ લેવામાં આવ્યા નથી? આ સહિતના સવાલો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યા બાદ અદાલત આ સ્ટે અંગે શુ નિર્ણય લેશે તે જોવું મહત્વનું બની રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:00 am

મનપા એક્શન મોડમાં:ફુલસર આવાસ યોજનામાં 256 આવાસના સર્વેમાં 104 ભાડુઆત, 26 આવાસને સીલ મારવાની કાર્યવાહી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકો માટે આવાસ યોજના અમલમાં છે પરંતુ તેમાં લાભાર્થીઓ આવાસને ભાડે આપતા ફુલસર આવાસ યોજનામાં કરેલા સર્વે બાદ આજે ખાલી નહીં કરેલા અને બાહેધરી નહીં આપેલા 26 આવાસને સીલ મારવામાં આવ્યા હતા. આવાસ યોજના પૈકીના મકાનોને ભાડે આપવામાં આવતી હોવાની માહિતી કોર્પોરેશનને મળતા ભાડે આપતા આવાસો સામે કડક કાર્યવાહી છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા ફુલસર ફાઇનલ પ્લોટ નં. 30માં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કુલ 256 આવાસોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર 75 મૂળ લાભાર્થીઓ વસવાટ કરતા હતા જ્યારે 104 ભાડુઆત હોવાથી તમામને નોટિસ ફટકારવામાં આવી હતી જયારે 77 આવાસમાં બિન રહેણાંક ધ્યાન પર આવ્યું હતું. જે સંદર્ભે આજ રોજ સિલીંગની કાર્યવાહી કરતા 104 ભાડુઆત પૈકી 78 આવાસ ખાલી કરાવ્યા હતા અને સોસાયટીનું NOC તેમજ મૂળ લાભાર્થીનું એફિડેવિટ લેવામાં આવેલ હતું. અને આજે ફુલસર આવાસ યોજનામાં પુનઃ ચેક પણ કરી લીધું હતું જ્યારે 26 આવાસને સીલ મારવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:04 am

કૌશિક વેકરીયાની હાજરીમાં કરાશે ગણતંત્ર પર્વની ઉજવણી:વલભીપુરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી થશે

દેશના 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તા.26 જન્યુઆરી સોમવારે વલભીપુર ખાતે કરવામાં આવશે.આ પર્વની શાનદાર ઉજવણી કરવા માટે ગંભીરસિંહ હાઇસ્કુલના ગ્રાઉન્ડ પર ધ્વજવંદન અને પરેડ અંગે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાજયના કાયદા,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે સવારના 9 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે ત્યારબાદ સલામી અને રાષ્ટ્રગાન અને પરેડ તથા માર્ચ પાસ્ટ થશે. વલભીપુર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટેની જિલ્લા પ્રશાસન અને વલભીપુર મામલતદાર કચેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને વલભીપુર મામલતદાર કચેરીને રોશનીથી શણગારવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રભાવના જગાડતી રજૂઆતો યોજાશે. ઉપરાંત, રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ અને જિલ્લાની વિવિધ ક્ષેત્રે ઉત્તમ સેવા આપનાર વ્યક્તિઓ, સંસ્થાઓને સન્માનિત કરવાની પણ આયોજનબદ્ધ વ્યવસ્થા રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પર્વની ગૌરવમય ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા નાગરિકોને નિવાસી અધિક કલેક્ટર ભાવનગર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:02 am

PGVCL દ્વારા 1 કરોડ 28 લાખની વસૂલાત કરાઈ:ગારિયાધારમાં બીલ વસુલવા વીજતંત્રનો કરંટ

ગારિયાધાર પીજીવીસીએલ દ્વારા હિસાબી વર્ષ માર્ચ એન્ડિંગ આવી રહ્યો છે ત્યારે બાકી પતાવવા માટે બાકીદારોના વીજ જોડાણ કાપીને કરંટ આપવાનું શરૂ કરતાં બાકીદારોમાં દોડધામ વધી ગઈ છે. વીજ જોડાણ ઉતારી લેવામાં આવી રહ્યા છે. હિસાબી વર્ષ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે ત્યારે ગારિયાધાર pgvcl કચેરી વિભાગ 2 દ્વારા આસપાસના 35 જેટલા ગામોમાં બાકીદારોના લેણા પતાવવા માટે સખ્તાઈથી વસૂલાત કરવામાં આવી રહી છે જે અંતર્ગત કુલ 6848 ગ્રાહકો પાસેથી 1 કરોડ 28 લાખની ઉઘરાણી વસૂલ કરવામાં આવી છે. આગામી માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે હજુ પણ વસુલાતની કડક ઝુંબેશ શરૂ કરીને વસુલાતની બાકી રકમ માટે કડક કાર્યવાહી કરીને વસુલાત કરવામાં આવશે તેમ જણાય રહ્યું છે. વસુલાત માર્ચ મહિના સુધી કડક હાથે કરવામાં આવશેગારિયાધાર પંથકના ગામડામાં વીજ વસુલાતની ઝુંબેશ માર્ચ મહિના સુધી કડક હાથે કરવામાં આવશે. ગ્રાહકોને સમયસર વીજ બીલ ભરવા માટે અપીલ કરું છું. વીજ કનેક્શન કપાયા બાદ રીકનેક્શન માટે દંડ ભરીને તંત્રની પ્રોસેસ માંથી પસાર થવું પડે છે માટે ગ્રાહકોએ સમયસર વીજ બીલ ભરપાઈ કરવું જોઈએ. > જી.એમ. વિસાત, નાયબ ઈજનેર, ગારિયાધાર pgvcl વિભાગ- 2 43 ગ્રાહકોએ 12 લાખનું બિલ નહીં ભરતા કનેકશન કટ્ટ25 ગ્રાહકો પાસે 8 લાખ 57 હજારનું બિલ બાકી હોય જે લેણદારોએ નહીં ભરતા એમના મીટર ઉતારી લેવામાં આવ્યા છે. તેમજ 43 જેટલા ગ્રાહકો પાસે 12 લાખનું વીજ બિલ બાકી હોય તેઓએ બિલની ચુકવણી નહીં કરતા તેમના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. વીજ તંત્રની સખ્તાઈથી વસૂલાત કરવામાં આવતા વીજ બીલ નહી કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.વીજ જોડાણ કાપી નાખ્યા બાદ જે ગ્રાહકો રૂપિયા ભરે તો પણ ફરીથી વીજ જોડાણ શરૂ કરવા માટે વીજતંત્રની પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. આમ પીજીવીસીએલ વિભાગ 2 દ્વારા વીજબિલની ઉઘરાણી માટે તંત્રએ લાલ આંખ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:01 am

'જીવતા માણસોને મારી નાંખ્યા':હાથમાં પુરાવા લઈ લોકો રસ્તા પર ઉતર્યા, અમદાવાદ-સુરતમાં અનેક મુસ્લિમ મતદારોના નામ રદ કરવા અરજીઓ, ફોર્મ નં.7 કોણે ભર્યાં?

રાજ્યમાં ચાલતી SIRની કામગીરી સામે કોંગ્રેસે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપ ખોટાં ફોર્મ નંબર-7 ભરીને લાખો નાગરિકોનો મતાધિકાર છીનવવા માગે છે. 10 લાખ મતદારોના નામ રદ કરવા ભાજપની તૈયારી છે. ફોર્મ નં.7ને લઈ થયેલા આ વિવાદને લઈ દિવ્ય ભાસ્કર દ્વારા અમદાવાદ અને સુરતમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું કે શું ખરેખર જીવિત મતદારોને મૃત બતાવી તેમના નામ રદ કરવા ફોર્મ ભરાયા છે કે નહીં? જેમાં એક બે નહીં પરંતુ અનેક જીવિત મુસ્લિમ મતદારોના નામ રદ કરવા ફોર્મ-7 ભરાયા હોવાનું સામે આવ્યું છે. BLOએ પણ નામ ન આપવાની શરતે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમજ લોકો હાથમાં પુરાવા સાથે રસ્તા પર ઉતર્યા છે. અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ SIRની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન પણ કોંગ્રેસે વોટચોરી થતી હોવાના આક્ષેપ કર્યા હતા. મતદાર સુધારણાની કામગીરી માટે BLOએ ઘરે ઘરે જઈને ડોક્યુમેન્ટની ખરાઇ કરીને વિગતો અપડેટ કરી હતી. જો કે તે બાદ મત રદ કરાવવો હોય તો તેના નજીકના લોકો માટે ફોર્મ નંબર 7 ભરવાની સૂચના આપવામાં આવી હતી. ફોર્મ નંબર 7 ભરીને વાંધા રજૂ કરવામાં આવતા તે વ્યક્તિનું નામ રદ કરવામાં આવતું હોય છે. આ પણ વાંચો: SIRમાં હવે ફોર્મ નંબર-7નું કમઠાણ:સ્થળાંતર અને મૃત્યુના કિસ્સામાં ભરાતા ફોર્મની સંખ્યા સામે કોંગ્રેસના સવાલ પરંતુ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ફોર્મ નંબર 7માં અરજી કરનાર એક વ્યક્તિ જ અનેક લોકોના નામ રદ કરવા માટે વાંધો ઉઠાવતા હોવાનું સામે આવ્યું છે. તેમજ ફોર્મ નંબર 7માં વાંધા રજૂ કરનારે વિગતમાં એપિક નંબર ન લખ્યો હોય તો ક્યાંક મોબાઇલ નંબરની વિગતો ખોટી હોવાનું સામે આવ્યું છે. દિવ્યા ભાસ્કરને પણ એવા કેટલાક ફોર્મ મળી આવ્યા છે. અમદાવાદમાં 100 નામ રદ કરવા એક વ્યક્તિએ ફોર્મ નં.7 ભર્યાનો દાવોઅમદાવાદ શહેરના ઝાનાસાહેબની ગળી, રિલીફ રોડ અને મિર્ઝાપુરના મોરકસવાડમાં રહેતા 100 કરતા વધુ લોકોના નામ રદ કરવા ફોર્મ 7 ભરાયું હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં જન્મથી રહેતા 60 વર્ષ કરતા વધુ ઉંમરના 100 કરતા વધુ લોકોના નામ રદ કરવા માટે એક વ્યક્તિએ ફોર્મ ભર્યા હોવાનો સ્થાનિકોએ પુરાવા બતાવી દાવો કર્યો છે. જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં મૃત્યુ થયું હોવાનું બતાવવામાં આવ્યુંશનિવારે BLO ખરાઇ કરવા માટે જે લોકોના નામ રદ કરવા માટે ફોર્મ 7 ભરાયા છે તેમના ઘરે પહોંચ્યા હતા. અનેક વ્યક્તિઓ જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં મૃત્યુ થયું હોવાનું બતાવવામાં આવ્યું હતું. BLO જ્યારે ખરાઇ કરવા ઘરે પહોંચ્યા ત્યારે સ્થાનિકોને ખબર પડી કે કોઈક વ્યક્તિએ ખોટી રીતે નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભર્યા છે. દિવ્યા ભાસ્કરને જે ફોર્મ મળ્યા હતાં. તેમાં જે લોકોનું મૃત્યુ હોવાની બતાવી ફોર્મ 7 ભરવામાં આવ્યું હતું તે ખરેખર તો જીવિત હોવાનું સામે આવ્યું હતું. તેમજ જે વ્યક્તિએ ફોર્મ 7 ભર્યું છે તેમને સ્થાનિકો ઓળખતા પણ ન હોવાનો દાવો કર્યો હતો. તેમનું મૃત્યુ બતાવવામાં આવ્યું હતું તે ફોર્મ 7 અને પોતાના વોટર આઇડી સાથે જોવા મળ્યા હતા. 65 વર્ષીય હનીફભાઈ શેખ જન્મથી જ મિર્ઝાપુરમાં રહે છે. ઇલેક્ટ્રિક દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓ જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં તેમનું મૃત્યુ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ અંગે હનીફભાઈએ જણાવ્યું હતું કે, ખબર નહીં સરકારના મનમાં શું ચાલી રહ્યું છે? એક તરફ સિટીઝનને ફાયદો કરાવવાની વાત કરવામાં આવે છે અને બીજી તરફ અમારા મત રદ કરવામાં આવી રહ્યા છે. BLO ફોર્મ લઈને આવ્યા ત્યારે અમને ખબર પડી61 વર્ષીય યાસીનભાઈ સૈયદ રિક્ષા ચલાવીને પિતાનું ગુજરાન ચલાવે છે અને તેમનું નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7માં મૃત્યું થયું હોવાનું બતાવવામાં આવ્યું છે. યાસીનભાઈએ જણાવ્યું હતું કે, લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ અમે મતદાન કરીએ છીએ. BLO ફોર્મ લઈને આવ્યા ત્યારે અમને ખબર પડી હતી. પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને ડોક્યુમેન્ટ પણ ચેક કરવામાં આવ્યા છે. જેણે અમારું ફોર્મ ભર્યું છે તેને અમે ઓળખતા જ નથી. ‘નવી યાદીમાં અમારું નામ પણ એડ થઈ ગયું હતું’65 વર્ષીય રફીકભાઈ કુરેશી જીવિત હોવા છતાં મૃત્યુ થયું હોવાનું ફોર્મ 7માં બતાવવામાં આવ્યું છે. રફીકભાઈ કુરેશીએ જણાવ્યું કે, જન્મ થયો ત્યારથી હું અહીં જ રહું છું. BLO જયારે ઘરે આવ્યા ત્યારે અમે ફોર્મ ભરીને ડૉક્યુમેન્ટ પણ આપ્યા હતા. તેમજ તે બાદ નવી યાદીમાં અમારું નામ પણ એડ થઈ ગયું હતું. જે બાદ એવું જાણવા મળ્યું હતું કે ફોર્મ નંબર 7માં મૃત્યુ થયું હોવાનું બતાવવામાં આવ્યું છે. ‘જે વ્યક્તિએ અમારું ફોર્મ ભર્યું તેને અમે ઓળખતા જ નથી’64 વર્ષીય લિયાકત મેમણે જણાવ્યું હતું કે, જન્મથી અહીં રહીએ છીએ. BLO આવ્યા ત્યારે ખબર પડી કે અમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે. BLO આવ્યા ત્યારે અમે તમામ ડોક્યુમેન્ટ આપી દીધા હતા. જે વ્યક્તિએ અમારું ફોર્મ ભર્યું તેને અમે ઓળખતા જ નથી. જેથી અમે હવે પોલીસ ફરિયાદ કરી છે. અમારાં વોટ કાપી ચૂંટણી જીતવા માટેનું ભાજપનું ષડયંત્ર છે. મેં કોઈપણ ફોર્મ ભર્યું નથી: પંકજ પુરાણીફોર્મ નંબર 7 પંકજ પુરાણી નામના વ્યક્તિએ ભર્યું હોવાનું ફોર્મમાં દર્શાવવામાં આવ્યું હતું. જેથી દિવ્ય ભાસ્કરે તેમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મેં કોઈપણ ફોર્મ ભર્યું નથી કે કોઈપણ ફોર્મમાં સહી પણ કરી નથી. મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે. મારું નામ ફોર્મમાં કઈ રીતે આવી ગયું તેની મને પણ ખબર નથી. ફોર્મ જમા કરાવવા જઈએ CCTV કેમેરા પણ હોય છે તો તે જોવામાં આવે તો મારા નામનું ફોર્મ કોણ આપી ગયું તે સામે આવી શકે છે. ફોર્મમાં જે લખાણ છે તે પણ મારું નથી. હું કોઈ ફોર્મ આપવા માટે પણ ગયો નથી. ફોર્મ ક્યારે જમા થયું અને કોણ આપી ગયું તે ચેક કરવું જોઈએ. જો કે અત્યાર સુધી પોલીસે કોઈ ફોન કર્યો નથી. મારા નામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ‘એક વ્યક્તિ ઘણા બધા ફોર્મ નંબર 7 ભરીને લઈને આવ્યા હતા’દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નામ ન આપવાની શરતે એક BLOએ સ્વીકાર્યું હતું કે ફોર્મ નંબર 7નો મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે. BLOએ જણાવ્યું હતું કે, ફોર્મ નંબર 7 નામ રદ કરવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. કોઈના પિતા મૃત્યુ પામ્યા હોય તો તેનો દીકરો નામ રદ કરવા માટે વાંધો રજૂ કરી છે. ફોર્મ ફિઝિકલ ફોર્મેટમાં ભરીને નામ નંબર સહી અને એપિક નંબર સાથે ભરીને આપવું પડતું હોય છે. તમામ વિગતો હાથથી જ લખવામાં આવતી હોય છે. જે બાદ ફોર્મ ભરાયા તે ફોર્મ BLO પાસે જતા હોય છે અને તે બાદ તેને ઑનલાઇન અપલોડ કરવામાં આવતું હોય છે. નજીકના વ્યક્તિ ફોર્મ નંબર 7 ભરીને વાંધો ઉઠાવી શકે છે. મારા મિત્ર BLO પાસે પણ એક વ્યક્તિ ઘણા બધા ફોર્મ નંબર 7 ભરીને લઈને આવ્યા હતા. જે તમામ મતદારોના નામ રદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેને ખોટી રીતે મતદારોના નામ રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. એના પાસે જેટલા મતદારો નથી એના કરતા વધુ નામ રદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સુરતમાં પુરાવાઓ સાથે લોકો રસ્તામાં ઉતર્યાંજ્યારે સુરતમાં મુસ્લિમ બહુમતી ધરાવતા અનેક વિસ્તારમાં SIRની કામગીરી વિવાદમાં આવી છે. ખાસ કરીને લિંબાયતના અનવર નગરમાં 50 વર્ષથી રહેતા અંદાજે 200 જેટલા જીવિત લોકોને ફોર્મ 7માં મૃત જાહેર કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. તેમજ હાથમાં પુરાવા સાથે રસ્તા પર ઉતર્યા છે. અનવર નગરના રહીશોનો સીધો આક્ષેપ છે કે ભાજપના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલે લિંબાયત વિસ્તારમાં મુસ્લિમ મતદારો સામે વાંધા અરજીઓ દાખલ કરી છે. BLO તરીકેની પ્રક્રિયામાં દરમિયાનગીરી કરીને ફોર્મ નંબર 7 ભરીને આ નામો કમી કરાવવાના પ્રયાસો થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં મતદારોને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ એક સુનિયોજિત કાવતરું છે જેનો હેતુ ચોક્કસ સમુદાયના મતો કાપવાનો છે. ફોર્મ નંબર 7માં 80 ટકા જીવિત નાગરિકોને કાગળ પર મૃત બતાવાયાચોંકાવનારી વિગત એ છે કે BLO દ્વારા જે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે, તેમાં અંદાજે 80 ટકા લોકોને મૃત જાહેર કરી દેવાયા છે. અન્ય મતદારોને 'સ્થાનાંતરિત' અથવા 'વયમર્યાદા'ના બહાને યાદીમાંથી બહાર કરવાના પ્રયત્નો થયા છે. વર્ષોથી એક જ સ્થળે રહેતા અને નિયમિત મતદાન કરતા નાગરિકો જ્યારે પોતાના જ નામે ભરાયેલા ફોર્મમાં પોતાને 'મૃત' જુએ છે, ત્યારે તેમની લાગણી દુભાઈ રહી છે. આ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાના ગંભીર આક્ષેપો અત્યારે વહીવટી તંત્ર સામે થઈ રહ્યા છે. કાયદાકીય લડત માટે મસ્જિદમાં એનાઉન્સમેન્ટ આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે અનવર નગરની મસ્જિદનો સહારો લેવામાં આવ્યો છે. મસ્જિદના લાઉડસ્પીકર પરથી સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે જે લોકોના નામ કપાયા છે અથવા જેમને મૃત જાહેર કરાયા છે, તેઓ એકત્રિત થાય. મસ્જિદમાંથી લોકોને કાયદાકીય લડત લડવા અને પોતાના હક માટે જાગૃત થવા આહવાન કર્યું છે. ધાર્મિક સ્થળેથી થયેલી આ જાહેરાતો બાદ મોટી સંખ્યામાં લોકો પોતાના ઓળખકાર્ડ અને પુરાવાઓ સાથે એકઠા થઈને તંત્ર સામે મોરચો માંડવા તૈયાર થયા હતા. હવે શેરીઓમાંથી આક્રોશ પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યોઅનવર નગરમાં છેલ્લા 50 વર્ષથી રહેતા વડીલો પણ આ યાદીમાં મૃત જાહેર થયા છે, જે અત્યંત આઘાતજનક બાબત છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ પેઢીઓથી અહીં રહે છે અને તમામ ડોક્યુમેન્ટ્સ આપ્યા હોવા છતાં ડ્રાફ્ટ લિસ્ટમાં ચેડાં કરવામાં આવ્યા છે. જે લોકો પ્રત્યક્ષ હાજર છે અને જીવી રહ્યા છે, તેમને સરકારી ચોપડે મૃત બતાવીને લોકશાહીના પાયા સમાન મતાધિકાર છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આક્રોશ હવે શેરીઓમાંથી પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરી સુધી પહોંચી રહ્યો છે. પીડિત મતદારોએ આ મામલે કાયદાકીય રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે. રોષે ભરાયેલા લોકોએ સલાબતપુરા પોલીસ મથકમાં લેખિત અરજી આપીને જવાબદાર કોર્પોરેટર અને BLO સામે કાર્યવાહીની માંગ કરી છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં કલેક્ટરને મળીને રજૂઆત કરવાની અને જીવિત હોવાના પુરાવા રજૂ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમના નામ ફરીથી સન્માનપૂર્વક યાદીમાં ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શાંતિથી બેસવાના નથી. કોર્પોરેટર વિક્રમ પાટીલનું મોં સિવાઈ ગયું, ફોન કાપી નાખ્યોઆ વિવાદ અંગે જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈ પણ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. જ્યારે તેમને મતદારો સામેની વાંધા અરજીઓ અને જીવિત લોકોને મૃત જાહેર કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપ્યા વગર જ ફોન કાપી નાખ્યો હતો. કોર્પોરેટરનું આ મૌન અને પ્રતિભાવ આપવાની અનિચ્છા અનેક સવાલો ઉભા કરે છે. બીજી તરફ, વહીવટી તંત્ર હવે આ ગંભીર ક્ષતિ સુધારવા માટે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. ડ્રાફ્ટ યાદી તૈયાર થઈ તેમાં દરેકના નામ સાચી રીતે આવી ગયા હતાસ્થાનિક અબ્દુલ રઝાક વઝીરશાહે જણાવ્યું કે હું અનવરનગર, આંજણા, 163 લિંબાયત વિધાનસભાનો મતદાર છું. મારા વિસ્તારમાં SIR.ની કામગીરી થઈ હતી. જે ડ્રાફ્ટ યાદી તૈયાર થઈ તેમાં દરેકના નામ સાચી રીતે આવી ગયા હતા. ‘આ બાબતે કોઈ પુરાવો કે આધાર આપ્યો નથી’ત્યારબાદ 15-16 તારીખ પછી, અમારા વિસ્તારના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલે અમારી વિરુદ્ધ 7 નંબરનું ફોર્મ ભર્યું. હું અહીં 36 વર્ષથી, એટલે કે 1984થી રહું છું, પરંતુ મને 7 નંબરનું ફોર્મ આપવામાં આવ્યું અને મૃત જાહેર કર્યો. આવી જ રીતે અમારા વિસ્તારના ઓછામાં ઓછા 200 લોકોને 7 નંબરના ફોર્મ મળ્યા છે. કોઈને મૃત જાહેર કર્યા છે, તો કોઈ અહીં નથી રહેતા તેવો ખોટો આક્ષેપ કરીને તેમણે 7 નંબરના ફોર્મ ભર્યા છે. તેમણે આ બાબતે કોઈ પુરાવો કે આધાર આપ્યો નથી. તેથી અમે આ અરજી કલેક્ટરને સોંપી છે. વિક્રમ પાટીલ વિરુદ્ધ FIR કરવા મોરચો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતોજે માનસિકતા સાથે વિક્રમ પોપટ પાટીલે આ ફોર્મ ભર્યા છે, તેની વિરુદ્ધ એફ.આઈ.આર. કરવા માટે અમે સલાબતપુરા પોલીસ સ્ટેશન મોરચો લઈને ગયા હતા. આવનારા એક-બે દિવસમાં અમે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને આ અરજી આપવા જઈ રહ્યા છીએ. સ્થાનિક અનવર શાહ બબન શાહે જણાવ્યું હતું કે,વર્ષ 1984માં સુરત મહાનગરપાલિકાએ કડીવાળા હાઈસ્કૂલ પાસેથી અમને અહીં શિફ્ટ કર્યા હતા. અમને અહીં આવ્યાને ઓછામાં ઓછા 40 થી 42 વર્ષ થઈ ગયા છે. જ્યારે ફોર્મ આવ્યું અને B.L.O.એ જણાવ્યું કે તમને મૃત જાહેર કર્યા છે, ત્યારે અમે આ ઝુંબેશ શરૂ કરી છે. ભારતીય જનતા પાર્ટીના પેટમાં ક્યાંક તેલ રેડાયું છે: અસલમ સાયકલ વાલાઆ મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલ વાલાએ જણાવ્યું હતું કે, આ પ્રક્રિયામાં મુસ્લિમ સમાજે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એમાં અસંખ્ય સંખ્યામાં મુસ્લિમ મતદારોના નામ નોંધાઈ ચૂક્યા હતા.પરંતુ, મુસ્લિમોના ઉત્સાહ જોઈને ભારતીય જનતા પાર્ટીના પેટમાં ક્યાંક તેલ રેડાયું છે અને ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ બંને ભેગા મળીને એક સુનિયોજિત ષડયંત્ર રચીને જે નોંધાઈ ચૂક્યા હતા એવા નામો સામે ફોર્મ નંબર 7માં સ્પષ્ટપણે લખેલું છે કે તમારે કોઈની સામે વાંધો લેવો હોય તો તેને યોગ્ય જરૂરી પુરાવા સાથે વાંધા લેવાની ફરજ પડે છે, અને પુરાવા નહીં આપી શકો તો એક વર્ષની દંડ અને સજાની જોગવાઈ છે. પુરાવા વગરની જેટલી પણ અરજીઓ છે એને તાત્કાલિક રદ કરવામાં આવેઅમારી એક જ માંગણી છે કે આવી જે પુરાવા વગરની જેટલી પણ અરજીઓ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે, દફતરે કરવામાં આવે અને જે મતદારો નોંધાઈ ચૂક્યા છે, જે હાલ હયાત છે, એવા મતદારો સાથે ન્યાય કરવામાં આવે. એ એમનો બંધારણીય અધિકાર છે અને એમના ભારતીય નાગરિકતાના પુરાવા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

‘હોટલ હિલ્લોક પાસેનો કટ નરહરી અમીને બંધ કરાવ્યો’:રિંગ રોડ પર ચાંદખેડા જતા ચાલકોએ 3 KM ફરવાને બદલે શોર્ટકટ લેતા ગરનાળામાં જામની સ્થિતિ; ભાસ્કરે જાણી સમસ્યા...

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડરનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોને 3 કિલોમીટર ફરીને ન્યુ ત્રાગડ અને ચાંદખેડા IOC રોડ તરફ જવું પડે છે. ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા સંકલન બેઠકમાં આ કટ બંધ કરી દેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જેના કારણે થઈને હવે લોકોને ફરીને જવું પડે છે. એસપી રિંગ રોડ પર ઝુંડાલ પહેલા એક નાનું ગરનાળું આવેલું છે જેમાંથી વાહનોને પસાર થવું પડે છે. ખૂબ નાના ગરનાળામાં એક સમયે માત્ર એક જ ગાડી અને એક ટુ-વ્હીલર પસાર થઈ શકે એટલી જ જગ્યા હોવાના કારણે બંને તરફથી વાહનો અવરજવર કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા થાય છે. આવી સમસ્યા હોવા છતાં પણ ત્યાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી જોવા મળી છે. વાહન ચાલકો 3 કિલોમીટર ફરવાના બદલે હિલ્લોક હોટલથી 850 કિમીના અંતરે આવેલા ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગરનાળામાં લાંબો જામ સર્જાય છે. ત્યારે ભાસ્કરે પણ સ્થળ પર જઈને લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. નરહરી અમીને રજૂઆત કરતા હોટલ હિલ્લોક પાસેનો કટ બંધઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં જ મળેલી સંકલન બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી કે એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થાય છે ત્યાં અકસ્માતની સંભાવના છે જેના કારણે આ ડિવાઈડરનો કટ બંધ કરવામાં આવે એવી રજૂઆતના આધારે AUDA દ્વારા આ કટ બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોના હિતને લઈ કટ રાખ્યો'તો, સાંસદની રજૂઆત બાદ બંધ કરાયોવધુમાં તેમને એક નાનું ગરનાળુ આવેલું છે જેમાં વાહનચાલકોને હાલાકી અને ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક પોલીસ સાથે અભિપ્રાય લેવામાં આવ્યો હતો કે કેમ તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્યસભાના સાંસદની રજૂઆત હતી અને ઉપરથી અધિકારીઓના આદેશના મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉથી જ આ ડિવાઈડર બંધ કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ AUDA દ્વારા નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આ કટ ચાલુ રાખવામાં આવ્યો હતો. જો કે સાંસદની રજૂઆત બાદ કટ બંધ કરવામાં આવ્યો છે. ‘કટ બંધ થતાં વાહનચાલકોને ઝુંડાલ સર્કલ સુધી 4 કિમીથી વધુ ફરીને જવું પડે છે’એસપી રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતાં હોટલ હિલ્લોક પાસે સર્કલ આવેલું છે જેની પાસેનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે. આ કટ ચાલુ હતો ત્યારે વૈષ્ણોદેવી તરફથી આવતા વાહન ચાલકોને ન્યૂ ત્રાગડ, ચાંદખેડા IOC રોડ જવું હોય તો આ કટ પાસેથી વાહન વળાંક લઈને જતાં હતા. જોકે AUDA દ્વારા હોટલ હિલ્લોક પાસેનો આ કટ બંધ કરી દેવાના કારણે વાહનચાલકોને ઝુંડાલ સર્કલ સુધી 4 કિલોમીટરથી વધુ ફરીને જવું પડી રહ્યું છે. કટ બંધ કરાવી દેતાં વાહનચાલકોને હાલાકીવૈષ્ણોદેવી તરફથી આવતાં લોકોને આ કટ ચાલુ હતો ત્યારે ખૂબ જ રાહત હતી. ટ્રાફિક પોલીસ પણ ત્યાં હાજર રહેતી હતી, પરંતુ ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા સંકલન બેઠકમાં કરેલી રજૂઆતના આધારે AUDAના અધિકારીઓએ આ કટ બંધ કરાવી દેતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. લોકોની અવરજવર વધુ પણ યોગ્ય મેનેજમેન્ટનો અભાવહોટલ હિલ્લોક પાસેથી ચાંદખેડાના IOC રોડ તેમજ ન્યૂ ત્રાગડ તરફ જવાનો મુખ્ય રોડ પણ આવેલો છે, છતાં પણ આ જગ્યા ઉપર ત્યાં વચ્ચે જે ખુલ્લી જગ્યા છે તેને બંધ કરી રોડ પણ AUDA દ્વારા બનાવવામાં આવતો નથી. જો આ રોડ બનાવી દેવામાં આવે તો ચાંદખેડા IOC તરફ જે નાગરિકોને જવું છે તે સરળતાથી જઈ શકે છે, પરંતુ AUDAના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી. દિન પ્રતિદિન ન્યુ ત્રાગડ અને IOC રોડ તરફ નવા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે અને વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોની અવરજવર ખૂબ જ વધી છે, પરંતુ કોઈપણ પ્રકારનું આ બાબતે યોગ્ય મેનેજમેન્ટ જોવા મળતું નથી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

રાજકોટ એઇમ્સના બંકરનો VIDEO:પહેલીવાર જુઓ ભિષ્મ ક્યૂબ, હેલિકોપ્ટર આખી હૉસ્પિટલને ઊંચકીને લઇ જાય, કેસ કાઢવા માટે લાઇનમાં ઉભવાની જરૂર નહીં

સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવનાર રાજકોટ એઈમ્સ હવે પૂર્ણતાના આરે છે. દર્દીઓની સુવિધા અને અત્યાધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે આ હોસ્પિટલ આવનારા દિવસોમાં આખા પ્રદેશ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પાંચ મુખ્ય બ્લોકમાં વહેંચાયેલી આ હોસ્પિટલમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 5 બ્લોકમાં વહેંચાયેલું છે હોસ્પિટલનું માળખુંએઈમ્સના વિશાળ કેમ્પસમાં મુખ્ય 5 બ્લોક (A થી E) બનાવવામાં આવ્યા છે, જેની કામગીરી અને આયોજન નીચે મુજબ છે: બ્લોક A: અહીં હાલમાં ટ્રોમા સેન્ટર, ઈમરજન્સી ટ્રીટમેન્ટ, MRI અને CT સ્કેન જેવી સુવિધાઓ કાર્યરત છે. ભવિષ્યમાં અહીં 200 લોકોની ક્ષમતા ધરાવતું લેક્ચર થિયેટર પણ તૈયાર કરવામાં આવશે. બ્લોક B: આ બ્લોકમાં ICU અને જનરલ વોર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. બ્લોક C: અહીં ભવ્ય ઓપીડી (OPD) એન્ટરન્સ અને પેશન્ટ્સ માટે વેઈટિંગ એરિયા બનાવવામાં આવશે. બ્લોક D: આ બ્લોક ખાસ કરીને હૃદયના દર્દીઓ માટે ‘કેથલેબ’ થી સજ્જ હશે. સેન્ટ્રલ સુવિધાઓ: બ્લોક C અને D ની વચ્ચે પબ્લિક માટે સેન્ટ્રલ કિચન અને કેફેટેરિયાની સુવિધા રાખવામાં આવી છે. OPD અને જનરલ વોર્ડ: બ્લોક C, D અને E માં બે માળ સુધી OPD એરિયા રહેશે, સાથે જ દરેક બ્લોકમાં જનરલ વોર્ડ અને ICU ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ઈમરજન્સીમાં ‘ગોલ્ડન અવર’ સારવારએઈમ્સની સૌથી મોટી વિશેષતા તેની ઈમરજન્સી સિસ્ટમ છે. અકસ્માત કે ગંભીર સ્થિતિમાં આવતા પેશન્ટને સીધા ટ્રોમા સેન્ટરમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપી, જરૂર પડે તો તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી શકાય તેવી અત્યાધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેસ કઢાવવા માટે લાંબી લાઈનોમાંથી મળશે મુક્તિદર્દીઓને ઓપીડીમાં કેસ કઢાવવા માટે હવે કલાકો સુધી ઉભા રહેવું નહીં પડે. અહીં ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે: કેસ બારી: પરંપરાગત રીતે માત્ર 10 રૂપિયામાં વાર્ષિક કેસ નીકળશે. સ્માર્ટ મશીન્સ: આધુનિક મશીનો દ્વારા પણ રસીદ મેળવી શકાશે. આભા (ABHA) એપ: ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા ટોકન મેળવી શકાશે, જેથી લાઈનમાં ઉભા રહેવાની જરૂર જ નહીં પડે. હાઈટેક મશીનરી અને રિપોર્ટ્સએઈમ્સમાં વિદેશથી આધુનિક મશીનરી લાવવામાં આવી છે. બ્લડ સેમ્પલિંગ માટેનું ખાસ મશીન 1 કલાકમાં 900 સેમ્પલ રન કરવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી દર્દીઓને ઝડપી અને ચોક્કસ રિપોર્ટ્સ મળશે. આ ઉપરાંત, કેન્સરના દર્દીઓ માટેની OPD અને કીમોથેરાપીની સારવાર પણ અહીં શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ અને અન્ય સુવિધાઓહોસ્પિટલની નજીક જ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે, જ્યાં મેડિકલ સ્ટૂડન્ટ્સના ક્લાસ અને અધિકારીઓની ઓફિસ આવેલી છે. રેસિડેન્ટ ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં જ રહેવાની સુવિધા છે. કેમ્પસમાં 700થી વધુ વાહનો માટે પાર્કિંગ અને VIP મુવમેન્ટ માટે 3 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ, ઈમરજન્સી મેડિકલ કીટ તરીકે ‘ભિષ્મ ક્યૂબ’ (BHISHM Cube) પણ છે, જેમાં ઓક્સિજન, માઈનોર OT અને એક્સ-રે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

મોદીએ કહ્યું આપણે ભુજ જવાનું છે:તારાજી જોઇને સાંસદ રડી પડ્યા, લોકો સ્મશાનમાં મૃતદેહો મૂકી ભાગી જાય, કચ્છને કાટમાળમાંથી બેઠું કરનારાઓની કહાની

ભૂકંપ બાદ કચ્છમાં ચારેતરફ વિનાશ જ વિનાશ હતો. કેટલા લોકોના મોત થયા તેનો એ સમયે ફક્ત અંદાજો જ લગાવાતો હતો, કોઇ ચોક્કસ આંકડો નહોતો. ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કંઇ બચ્યું નહોતું. બધું નાશ પામ્યું હતું. એક રીતે કહીએ તો જનજીવન થંભી ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થઇ શકે પણ મજબૂત ઇચ્છાશક્તિ, કુનેહ, વિઝન અને મહેનતે હજુ હાર નહોતી માની. આવા સમયે સરકાર, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ આગળ આવ્યા અને કચ્છની કાયાપલટ કરવાનો દૃઢ સંકલ્પ લીધો. જાણ્યા-અજાણ્યા ઘણા ચહેરા એવા છે જેણે આમાં કચ્છની કાયાપલટ કરવામાં યોગદાન આપ્યું છે. આવા જ અમુક ચહેરાની વાત કરીએ દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ભૂકંપ @25માં. નરેન્દ્ર મોદીનું એક બહુ જાણીતું સૂત્ર છે- આફતને અવસરમાં બદલવી. આ સૂત્ર ધરતીકંપની ઘટના બાદ આવ્યું છે. કચ્છના ભૂકંપ બાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આજે તમે જે કચ્છને જોઇ રહ્યાં છો તે નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, પોર્ટ અને ટુરિઝમનો ઉપયોગ કરીને તેમણે ગુજરાતના આ સૌથી મોટા જિલ્લાની સકલ બદલી દીધી છે. વર્ષોથી તરસ્યા કચ્છને પાણી પહોંચાડ્યુંતેમણે ભૂકંપમાં નાશ પામેલા હજારો ઘરોનું પુનઃનિર્માણ કરાવ્યું અને ગામડાં તેમજ શહેરોને ફરીથી ધબકતા કર્યાં. ભૂતકાળમાં સૂકો પ્રદેશ ગણાતા કચ્છની સૌથી મોટી જરૂરિયાત પાણીની હતી. નરેન્દ્ર મોદીએ કચ્છની તરસ છીપાવવા નર્મદા યોજનાનું પાણી પહોંચાડ્યું. જેનાથી ખેતીને ફાયદો થયો. ગીરની કેસર કેરીની જેમ હવે કચ્છની કેસર કેરીએ પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ટેક્સ હોલિડેની જાહેરાત બાદ કચ્છમાં મોટા-મોટા ઉદ્યોગો આવ્યા અને હજારો લોકોને રોજગારી મળી. આજના સમયે કચ્છની ગણતરી એશિયાના મોટા ઇન્ડસ્ટ્રિયલ હબમાં થાય છે. રણોત્સવે કચ્છની રોનક બદલી નાખીકચ્છમાં રહેલી ટુરિઝમ વિકાસની ક્ષમતાને નરેન્દ્ર મોદીએ પારખી અને પહેલીવાર 2005માં રણોત્સવની શરૂઆત કરાવી. પહેલો રણોત્સવ ફક્ત 3 દિવસ માટે યોજાયો હતો. આજે એ જ રણોત્સવ 100થી વધુ દિવસ સુધી ચાલે છે અને દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. 2005 પહેલા જે રણમાં જવા કોઇ જવા તૈયાર નહોતું તે રણે કચ્છની અલગ ઓળખ ઊભી કરી દીધી છે. 1969-70ના વર્ષમાં અમદાવાદમાં જજ તરીકે સેવા આપનારા મૂળ કચ્છના માંડવીના સુરેશ મહેતા પીઢ અને પરિપક્વ રાજકારણી છે. ગુજરાતના આ પૂર્વ મુખ્યમંત્રી કચ્છના ભૂકંપ સમયે રાજ્યના ઉદ્યોગ મંત્રી હતા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ કચ્છને બેઠું કરવામાં સુરેશ મહેતાએ તેમની સાથે ખભેખભો મીલાવીને કામ કર્યું હતું. મોટા ઉદ્યોગો આવ્યા અને કચ્છની આર્થિક સ્થિતિ સુધરીકચ્છ માટે ખાસ પેકેજ જાહેર કરાવવામાં સુરેશ મહેતાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કચ્છ ટેક્સ હોલિડે જાહેર થતાં મુન્દ્રા, ગાંધીધામ જેવા વિસ્તારોમાં મોટા ઉદ્યોગો સ્થપાયા હતા. કચ્છના લોકોને રોજગારી મળી રહે તે માટે તેમણે મોટા ઉદ્યોગપતિઓને રોકાણ કરવા માટે કહ્યું. અદાણી, ટાટા અને વેલસ્પન જેવી જાયન્ટ કંપનીઓ કચ્છમાં આવી તેની પાછળ સુરેશ મહેતાની મહેનત હતી. આવી મોટી કંપનીઓ આવવાના કારણે કચ્છની આર્થિક સ્થિતિમાં ઘણો ફેર પડ્યો છે. સુરેશ મહેતાએ પુનઃ વસનની કામગીરીમાં અંગત રસ લઇને લોકોને નવા મકાનો અપાવ્યા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન જ્યારે ભૂકંપગ્રસ્ત કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે સુરેશ મહેતાએ સતત તેમની સાથે રહીને ધરતીકંપની ભયાનકતાનો ચિતાર આપ્યો હતો. ભૂજ પડીને પાદર થઇ ગયું હતું. કાટમાળમાં અનેક લાશો દટાયેલી હતી. જેને બહાર કાઢીને અંતિમ સંસ્કાર કરવા જરૂરી હતા. શહેરમાં અલગ અલગ સમાજના સ્મશાન હતા. લોહાણા સમાજનું સ્મશાન ભૂજના સેન્ટરમાં આવેલું હતું. જ્યાં નિયમ એવો હતો કે જો અન્ય સમાજમાંથી કોઇનો મૃતદેહ આવે તો લોહાણા સમાજના પ્રમુખની મંજૂરી લેવી પડે અને પછી જ તેના અંતિમ સંસ્કાર કરી શકાય. સ્મશાનમાં જ માનવતાની ધૂણી ધખાવીરસિક ઠક્કર એ સમયે લોહાણા સમાજના પ્રમુખ હતા. ધરતીકંપ બાદની જે સ્થિતિ હતી તેનો ખ્યાલ તેમને આવી ગયો હતો. આવા કપરા સમયે તેમણે નિયમને સાઇડમાં મૂકીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું. મૃતદેહોની અંતિમવિધિ માટે તેમણે પોતે જ સ્મશાનમાં ધૂણી ધખાવી. સતત 18 દિવસ સ્મશાનમાં રહીને અંદાજે 932 મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા. 'લોકો મૃતદેહ સ્મશાને મૂકીને જતાં રહેતા'ઘનશ્યામ ઠક્કર રસિકભાઇના પુત્ર છે. એ દિવસોની ભયાનકતાને વર્ણવતા તેઓ કહે છે કે, પરિસ્થિતિ એટલી હદ બહાર હતી કે શરૂઆતના બે ત્રણ દિવસમાં બોડી લઇ આવવામાં કે નનામી કાઢવાની તો પરિસ્થિતિ જ નહોતી. કોઇનો હાથ કપાયેલો, કોઇનો પગ કપાયેલો હોય, કોઇના માથા પર પથ્થર વાગેલો, લોકો બોડી સ્મશાને મૂકી જતાં કારણ કે એમની પણ મજબૂરી હતી. 'એમના કોઇ સ્વજન કાટમાળમાં ફસાયેલા હોય ને એક બોડી હાથમાં આવી હોય તો સ્વાભાવિક છે કે બોડી સ્મશાને મૂકીને જીવતા માણસને કાઢવાનો પ્રયત્ન કરે. આ પરિસ્થિતિ અમે જોઇ છે.' પિતા રસિકભાઇની સેવાને યાદ કરતા પુત્ર ઘનશ્યામ ઠક્કરે કહ્યું કે, મારા પિતા એ સમયે અમારા સમાજના પ્રમુખ હતા. અમારા સમાજનો નિયમ હતો કે અન્ય સમાજમાંથી કોઇનો મૃતદેહ આવે તો સમાજના પ્રમુખની પરમિશન લેવી પડે. 11:30 વાગ્યે સ્મશાનમાં પ્રથમ બોડી આવી. સ્મશાનમાં બેઠેલા વ્યક્તિને ખબર નહોતી કે આટલી મોટી ઘટના બની ગઇ છે. તેણે ના પાડતાં કહ્યું કે પહેલા તમે પ્રમુખની પરમિશન લઇ આવો પછી તમને અગ્નિદાહ કરવા દઇશું. 18 દિવસ સુધી સ્મશાનમાં રહ્યાં'મારા પપ્પાને (રસિક ઠક્કરને) આ વાતની જાણ થઇ. એ સ્મશાને ગયા. એમણે નક્કી કર્યું કે હું સ્મશાને બેસીશ. ભૂજમાંથી જે પણ સમાજની બોડી આવશે એનો પરિવાર અગ્નિદાહ નહીં આપી શકે તો એને અગ્નિદાહ હું આપીશ. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી મોઢામાં ગંગાજળ અને તુલસીનું પાન મુકીશ. આમ સતત 18 દિવસ સુધી મારા પિતા સ્મશાને રહ્યા હતા. અંદાજિત 932 મૃતદેહોને અગ્નિદાહ આપ્યો હતો.' અંતિમ સંસ્કાર માટે લાકડા ખૂટી પડ્યા‘એમણે નિયમ બનાવ્યો હતો કે બોડી લેનારનું નામ, એમના નંબર અને મૃત વ્યક્તિનું નામ રજિસ્ટરમાં લખવું. આ રજિસ્ટર પછીના સમયમાં સરકાર માટે પણ ઉપયોગી બન્યું હતું. દિવસે દિવસે બોડી વધતી ગઇ, લાકડા ખૂટ્યા. સરકારમાં વાત કરી તો સરકારે લાકડા અપાવ્યા.’ તેમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ભૂજની તમામ બોડીને અગ્નિદાહ નહીં આપું ત્યાં સુધી ભૂજ લોહાણા સ્મશાન નહીં મૂકું. સવારે છ વાગ્યે જતાં અને સાંજે છ વાગ્યે આવતા. ખાવાનું મળે એ ખાઇ લેતા, ન મળે તો પણ દિવસ કાઢી લેતા. દિવંગત સાંસદ અનંત દવે ભૂકંપના દિવસે દિલ્હીમાં 26મી જાન્યુઆરીની પરેડના કાર્યક્રમમાં હાજર હતા. ભૂકંપની જાણ થતાં જ તેઓ કચ્છ આવ્યા હતા અને તબાહી જોઇને રડી પડ્યા હતા. અનંત દવેના પુત્ર દેવાંગે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ભૂકંપ સમયે હું અને મારી માતા આ જ ઘરમાં હતા. મેં મારા જીવનમાં પહેલીવાર ભૂકંપ જોયો હતો જ્યારે મારા પિતા એ સમયે દિલ્હી હતા. તેઓ 26 જાન્યુઆરીની પરેડ જોવા માટે ત્યાં ગયા હતા. 'મોદીએ આવીને કહ્યું આપણે અત્યારે કચ્છ જવાનું છે''ભૂકંપ આવતા જ ગામના અનેક લોકો પણ અમારા ઘરે આવી ગયા હતા. અહીંયા સત્યનારાયણ મંદિરની પાછળ અમારા પરિવારના બીજા સભ્યોનું ઘર ધ્વસ્ત થઇ ગયું હતું. બીજી તરફ મારા પિતા જ્યારે પરેડ ગ્રાઉન્ડ પર હતા ત્યારે અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાસે આવ્યા અને તેમણે કહ્યું કે આપણે એલ.કે.અડવાણી સાથે અત્યારે કચ્છ જવાનું છે. કચ્છમાં ખૂબ મોટી ભૂકંપની હોનારત થઇ છે.' 'જેના પછી તેઓ એલ.કે.અડવાણી સાથે પરેડ ગ્રાઉન્ડથી નીકળી અમદાવાદ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં અસરગ્રસ્ત લોકોને મળ્યા અને ત્યાંથી કારમાં ઝડપથી કચ્છ સુધી આવ્યા હતા.' કારને જ ઓફિસ બનાવી દીધી'મારા પિતા દુર્ઘટનાના 3 દિવસ બાદ થોડા સમય માટે ફરીથી માંડવી આવ્યા હતા અને તે સમયે તેઓ મારા માતા અને અમને બધાને ભેટીને ખૂબ રડી પડ્યા હતા. હું આજે પણ આ પ્રસંગને યાદ કરતા ધ્રુજી ઊઠું છું. એ ખાલી એટલું બોલ્યા કે અનેક પરિવારો ગયા પરંતુ મારા મહાદેવની કૃપાથી મારો પરિવાર સલામત છે. મારા પિતા દુર્ઘટનાના અનેક દિવસો સુધી સૂઇ નહોતા શકતા.મારા પિતા આ દુર્ઘટના પછી 15 દિવસ ભૂજમાં રહ્યાં. તેમની ઓફિસ ગણો કે કાર્યાલય ગણો, બધું જ એ સમયે તેમની કાર હતી.' ‘પીવાના પાણીની વ્યવસ્થા નહોતી તો આસપાસના જેટલા પણ કૂવાઓ હતા ત્યાં મશીન મૂકી પાણી ઉલેચીને લોકો માટે પાણીની વ્યવસ્થા કરી હતી. આ સમયે લોકોના મનોબળ પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. જેથી રોજ રાત્રે ભજન કિર્તનની શરૂઆત પણ કરી હતી. તેમણે પંડિત દીન દયાલના નામથી ભૂજના ગ્રાઉન્ડ પર ઓપન એર થિયેટરમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા પણ કરી હતી.’ તેઓ કહે છે કે, એ પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને એ સમયના સાંસદ મારા પિતા બધા સાથે મળીને સમયાંતરે બેઠક કરતા અને ટીમ વર્કની રીતે આખા કચ્છને બેઠું કર્યું હતું. અમે આ પછી ભૂંકપ સમયે કચ્છના લોકસભાના સાંસદ પુષ્પદાન ગઢવી સાથે વાતચીત કરી. તેઓ 1996 થી 2009 સુધી એમ કુલ ચાર ટર્મ સુધી લોકસભામા કચ્છનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અગાઉ તેઓ 5 વર્ષ ધારાસભ્ય પણ હતા. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરી ધ્વજવંદન માટે સવારે 8 વાગ્યે ઉમેદ ભવન (સર્કિટ હાઉસ) ખાતે ભેગા થયા હતા. ભૂકંપ આવ્યો ત્યારે આખું ઉમેદ ભવન ધ્રૂજવા લાગ્યું હતું. અમે 1956 નો ભૂકંપ પણ જોયો હતો પરંતુ આ ભૂકંપની તીવ્રતા ખૂબ ભયાનક હતી. 'ઉમેદ ભવનના પાયા હલી ગયા એટલે અમે તરત બહાર આવી ગયા હતા. બાજુમાં કલેક્ટર ઓફિસ હતી તે પણ આખી પડી ગઇ. કલેક્ટર ઓફિસ પાસે આવેલો ટાઉનહોલ પણ બેસી ગયો હતો. આ પછી અમે તુરંત હોસ્પિટલ પહોંચવા નીકળ્યા. અમે ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સેવાઓ બંધ થઇ ગઇ હતી.' હોસ્પિટલ ધરાશાયી થઇ અને દર્દીઓ દટાઇ ગયા'અમે હોસ્પિટલ પહોંચ્યા હોય તો ખબર પડી કે હોસ્પિટલ પણ ધરાશાયી થઇ ગઇ છે અને તેમાં પણ લોકો દટાઇ ગયા છે. ગામમાંથી પણ લોકો હોસ્પિટલ પહોંચી રહ્યા હતા. તે સમયે રોટરી ક્લબના ડોક્ટર જ્ઞાનેશ્વર રાવની ટીમ ભેગી થઇ ગઇ. તેમણે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે પાથરણું પાથરી હોસ્પિટલ શરૂ કરી દીધી.' વાતને આગળ વધારતા તેમણે કહ્યું કે, અમને બપોર પછી ખબર પડી કે કચ્છના પૂર્વ વિસ્તારમાં વધુ તીવ્રતા હતી, ત્યાં સાંકડી ગલીઓ અને આજુબાજુમાં મકાનો હતા. અનેક લોકો દબાયેલા હતા. અમે આર્મીની હોસ્પિટલમાં કંઇ વ્યવસ્થા થઇ શકે તેમ છે તે જોવા ગયા તો ત્યાં પણ આ જ હાલત હતી. આ પરિસ્થિતિમાં છેક સાંજે 6 વાગ્યા આસપાસ દિલ્હી સંપર્ક થઇ શક્યો. આ પછી રાત્રે જ એરફોર્સના પ્લેન આવવા લાગ્યા. તે વખતની હાલતનું વર્ણન કરતા પણ અત્યારે કંપારી છૂટી જાય છે. રાત્રે એરફોર્સના પ્લેન ઉતર્યાં'એ વખતે રાત્રે જ ત્યારના ડિફેન્સ મિનિસ્ટર જ્યોર્જ ફર્નાન્ડિઝે એરફોર્સના પ્લેન શરૂ કરાવ્યા હતા. જેમાં વધારે ઘાયલ લોકોને આસપાસની હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું શરૂ કર્યું. બીજા દિવસે તો મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સહિતના લોકો આવી પહોંચ્યા હતા.' 'તે સમયે ધાર્મિક સંસ્થાઓએ પણ ખૂબ કામ કર્યું હતું. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક રસોડા શરૂ કરાવ્યા. મુંબઇમાં રહેતા અને ફોરેનમાં રહેતા કચ્છીઓએ પણ મદદ કરી હતી. ભારતની મદદ માટે અનેક દેશોમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવવા લાગી હતી. તેમની પાસે ફ્રિકવન્સી સહિત અનેક વસ્તુ માટેના આધુનિક સાધનો પણ હતા. તેમણે લોકોને બહાર કાઢવામાં ખૂબ મદદ કરી હતી.' 'ભૂકંપ પછી 141 ગામો એવા હતા કે તે આખા ગામોને ફરીથી બનાવવા પડે તેમ હતા પછી આ ગામોને ફરી બનાવવા નવા ઘર બાંધવા અનેક સંસ્થાઓ આગળ આવી હતી.' ઘરમાં સૂવા માટે કોઇ તૈયાર નહોતુંતેઓ કહે છે કે, ભૂકંપ તો આવી ગયો પરંતુ તે પછી સતત આફ્ટર શોક આવતા રહેતા. દિવસમાં લગભગ 10-15 આફ્ટર શોક આવતા હતા. લોકો એટલા ડરેલા હતા કે કોઇ ઘરમાં જઇને સૂવા માટે તૈયાર નહોતું. બહાર ઠંડી હતી જેથી લોકો સુધી ગરમ કપડા પહેરવાની અને ઓઢવાની પણ સેવા પૂરી પાડવામાં આવી હતી. કચ્છને આ સમયમાં કલ્પના ન કરી શકાય એટલી બધી મદદ મળી છે. કચ્છના લોકોની ખુમારી પણ એવી કે જેને એક વાર મદદ મળી હોય તે કહેતા કે મને નહીં વધુ જરૂરિયાત બીજાને છે તેમને આપો. 'આ પછી કચ્છને ફરી ઊભું કરવાનું હતું. તે સમયે વાજપેયીએ કહ્યું કે, આપણે એક નવી સારી હોસ્પિટલ બનાવવાની છે એટલે કચ્છની હાલની જનરલ હોસ્પિટલ તે AIIMS કક્ષાની બનાવવામાં આવેલી છે. એ સમયે AIIMSનો સ્ટડી કરીને તેમાંથી પ્રેરણા લઇ આ હોસ્પિટલ બનાવવામાં આવી હતી.' વાજપેયીએ પૂછ્યું કચ્છ માટે શું કરીએ?'વાજપેયીએ પૂછ્યું હતું કે કચ્છને સવાયું કરવા માટે શું કરવું જોઇએ ત્યારે અમે ફંડની ઘટ, દુષ્કાળનું વધુ પ્રમાણ, રસ્તાનો અભાવ વગેરે જેવી અમારી વર્ષો જૂની માંગ હતી તે અમે ફરી મુકી હતી.અમે આ બધી રજૂઆત કરી એટલે વાજપેયીએ કચ્છને ટેક્સ હોલિ ડે જાહેર કર્યું હતું.જેથી અહીં મોટી મોટી કંપનીઓ આવી. આ પછી મુંદ્રા પોર્ટનું પણ ડેવલપમેન્ટ થયું. આ એક કાયદાને કારણે ઇન્ડસ્ટ્રીલાઇઝેશનની શરૂઆત થઇ હતી.' આ રીતે રણોત્સવની શરૂઆત થઇ'2002માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને નર્મદાનું પાણી પણ પૂરું પાડવામાં આવ્યું. અહીંથી નર્મદા ડેમ 700 કિલોમીટર દૂર છે પરંતુ માળિયા સુધી કેનાલથી અને એ પછી પાઇપ લાઇનથી પાણી પૂરું પાડવામાં આવ્યું. રોડનું પણ ડેવલપમેન્ટ શરૂ થયું હતું. નરેન્દ્ર મોદીએ 2006માં એક વિઝન જોયું કે રણને ડેવલપ કરવું છે. આ પહેલા રણનો કોઇ ઉપયોગ નહોતો. તેમણે તે સમયે અબ્દુલ કલામને વાત કરી. અબ્દુલ કલામ પોખરણના રણમાં 15 દિવસ રોકાયા હતા એટલે તેમણે કહ્યું કે કુદરતે આપેલું છે તેનો ઉપયોગ તો હોવો જોઇએ.' 'આ પછી તેમણે નરેન્દ્ર મોદી સાથે મળીને કામ શરૂ કર્યું. નરેન્દ્ર મોદી જ્યારે કોઇ હોદ્દા પર નહોતા ત્યારે તેઓ રણમાં અનેકવાર રોકાતા હતા એટલે તે પરિસ્થિતિ સમજતા હતા. આ પછી તેમણે રણોત્સવ શરૂ કર્યો. કચ્છના લોકોમાં ફરી ઉત્સાહ ઉમેરાય તે માટે પણ કામ કર્યું. અમિતાભ બચ્ચને પણ જાહેરાત કર્યું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આજે કચ્છ મોટી ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી પણ બન્યું છે.' 'સુરેશ મહેતા ઉદ્યોગ મંત્રી હતા એટલે તેમણે ઉદ્યોગ સાહસિકોને આમંત્રિત કર્યા તે સમયે અદાણીએ મુન્દ્રા પોર્ટનું આ કામ લીધું. આ પોર્ટ કંડલા કરતા અનેક ગણું આધુનિક બનાવ્યું.' 'તે સમયે રેલવે બ્રોડગેજ કંડલા સુધી જ આવતી હતી. મારી માંગ હતી કે બ્રોડગેજ ભૂજ સુધી આવે. તે માટે મેં અનેક જગ્યાએ રજૂઆત કરી. એક વખત બજેટ સત્રમાં મને રાત્રે અઢી વાગ્યે સંસદમાં બોલવાનો મોકો મળ્યો હતો ત્યારે મેં રજૂઆત કરી અને તે વખતે રામવિલાસ પાસવાન મંત્રી હતા. તેમણે મારી વાત સમજી અને બ્રોડગેજ મંજૂર કરી. આ પછી ઇન્ફ્રાસ્ટ્રકચર બન્યું.' 'ખડી એવો પ્રદેશ હતો કે ત્યાં જવા માટે રાપર થઇને ફરીને જવું પડતું, લગભગ 150 કિલોમીટર થતા હતા. તે સમયે તો ત્યાં ફોન પણ નહોતા લાગ્યા. ભૂકંપ સમયે પ્રમોદ મહાજન ટેલિકોમ મિનિસ્ટર હતા તેમણે આ પરિસ્થિતિ જોઇ હતી. તેમણે અમને સેટેલાઇટ ફોન આપ્યા હતા. આ પછી પ્રમોદ મહાજને ખડી ગામ દત્તક લીધું હતું.' તેઓ કહે છે કે, કચ્છના વિકાસથી આજે આનંદ થાય છે પરંતુ માત્ર વિકાસ પૂરતો નથી. પર્યાવરણની જાળવણી પણ મહત્વની છે. કચ્છમાં બેલેન્સ જરૂરી છે. અહીં વિકાસ તો થાય છે પરંતુ તેનું બેલેન્સ જરૂરી છે. બિપિન ભટ્ટ રિટાયર્ડ એડિશનલ કલેક્ટર છે. કચ્છમાં ભૂકંપ બાદ પુનઃ વસનની કામગીરીમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નામથી બિપિન ભટ્ટ નગર પણ બન્યું છે. કચ્છના ઇતિહાસમાં કદાચ આ પહેલી એવી ઘટના હશે કે જેમાં કોઇ અધિકારીના નામથી આખું નગર બન્યું હોય. અધિકારી સામે ટાઉન પ્લાનિંગનો મોટો પડકાર હતોબિપિન ભટ્ટે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વર્ષ 2002માં ભૂજ શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી તરીકે મારી ત્યાં નિમણૂક થઇ. મેં લગભગ 10 મહિના કામ કર્યું. નવું આયોજન કરવાનો એક મોટો પ્રશ્ન હતો. એમાં રો-હાઉસના બદલે એપાર્ટમેન્ટનું પ્લાનિંગ કરતાં મને 7 દિવસ લાગ્યા હતા. અમે એક જ દિવસમાં ભરતી કરીને કામ શરૂ કરી દીધું હતું. જ્યાં માંડ સ્કૂટર અને સાયકલ જાય એવી ઘણી ગલીઓની વચ્ચે હાલ મોટું વાહન પસાર થઇ શકે એવા રસ્તાઓનું આયોજન કર્યું હતું. અખબારો, સ્થાનિક લોકો, સ્વૈચ્છિક સંસ્થાઓનો સારો સહયોગ મળ્યો. 'આજે ભૂકંપને 25 વર્ષ થયા છે ત્યારે મને પોતાને સંતોષ છે કે કામ સારું થયું. એ વખતે લોકો ઘણા હેરાન થયા હતા. સ્વજનો ગુજરી ગયા, મકાનો પડી ગયા, ધંધા-રોજગાર ઠપ્પ હતા.' તેમણે કહ્યું કે, આજે ભૂજવાસીઓ આનંદથી નવી સગવડો ભોગવે છે. આજે નવું ભૂજ નવા કલેવર સાથે આનંદથી જીવે છે. હયાત શહેરમાં ટાઉન પ્લાનિંગ કરવાનો આવો પ્રયોગ દુનિયામાં ક્યાંય થયો નથી. એ સુપેરે પાર પડ્યું એનો મને સંતોષ છે. ઝૂંપડપટ્ટીવાળા લોકો, જેમના મકાનો યોજનાના કારણે ખસેડવા પડેલા એ લોકો અને ભાડૂઆતોને પણ મુંબઇના એક NGOની મદદથી પોતાનું ઘર મળ્યું તેનો વિશેષ આનંદ છે. હા, એક વાત છે કે આપણે ઇચ્છીએ કે આપત્તિ આવે નહીં પણ આવે તો ઓછામાં ઓછું નુકસાન થશે એવું મને લાગે છે. કચ્છમાં પાઇપ, ટુવાલ બનવા લાગ્યાગોએન્કા ગ્રુપે 2004માં અંજારમાં વેલસ્પન ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી હતી. 13,500 મિલીયન રૂપિયાના રોકાણ સાથે સ્થપાયેલી આ ઇન્ડસ્ટ્રી આજે કચ્છમાં હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીં પાઇપ્સ, ટુવાલ, બેડશીટ જેવી વસ્તુઓ બને છે. અંજારના વરસામેડી ગામ પાસે 2500 એકરમાં વેલસ્પન ટાઉનશિપ ફેલાયેલી છે. જેને વેલસ્પન સિટી કહેવાય છે. જેમાં ફેક્ટરી, કર્મચારીઓ માટે રહેઠાણ, સ્કૂલ આવેલા છે. ભૂકંપ પછી કચ્છને ફરીથી બેઠું કરવામાં વેલસ્પનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. આમ અનેક લોકોના અથાક પરિશ્રમ અને સંકલ્પથી કચ્છ એ સમયના દુઃખ, દર્દ અને પીડાને પાછળ છોડીને હવે આગળ વધી ગયું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

નેતાએ ભુંડ પકડવાનો નુસખો દેખાડ્યો ને સાંસદ હસી પડ્યા:જોઈ લો, મંચ પરથી મોટી મોટી વાતોનો VIDEO; ઠાકોર સમાજે જાગૃતિ માટે આદિત્ય ગઢવી પાસે ગીત ગવડાવ્યું

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 6:00 am

CMAT-2026ની પરીક્ષા:ભાવનગર સહિત રાજયના 11 સેન્ટરમાં આવતીકાલે લેવાશે સીમેટની પરીક્ષા

ભાવનગર શહેરમાં તા.25 જાન્યુઆરીને રવિવારે નેશનલ ટેસ્ટીંગ એજન્સી, નવી દિલ્હી દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવેલી એમબીએ અને એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે સીમેટની પરીક્ષા CMAT-2026ની પરીક્ષા 3 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાશે. સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી સિંગલ શિફ્ટમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડ દ્વારા કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ યોજાશે. ઉમેદવારોને પરીક્ષાના સમાચારના અપડેટ્સ માટે NTA વેબસાઇટ https://nta.ac.in/ અને https://cmat.nta.nic.in/ ની મુલાકાત લેવી. ગુજરાતમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, ભુજ, હિંમતનગર, રાજકોટ, આણંદ, જામનગર, મહેસાણા, સુરત, વડોદરા અને વલસાડ/વાપી ખાતે આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માત્રાત્મક ટેકનિક અને ડેટા અર્થઘટન, તાર્કિક તર્ક, ભાષા સમજણ, સામાન્ય જાગૃતિ અને નવીનતા અને ઉદ્યોગસાહસિકતા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉમેદવારોની ક્ષમતાનું મૂલ્યાંકન કરશે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ પ્રતિબંધો ફરમાવ્યા છે. જે મુજબ પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ, સ્કેનર તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા કે તેના ઉપયોગ પર. પરીક્ષા કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષાનું માળખુંઆ પરીક્ષા રવિવારે લેવામાં આવશે. ત્રણ કલાકની આ કસોટીમાં કુલ 100 પ્રશ્નો પુછાશે અને કુલ ગુણ 400 રહેશે. પરીક્ષા કમ્પ્યૂટર બેઇઝડ લેવામાં આવશે. સાચા જવાબના 4 ગુણ રહેશે જ્યારે ખોટો જવાબ આપો તો માઇનસ 1 ગુણ કપાશે. ટકા, સરેરાશ, નફા-નુકશાન, સમયકામ વિગેર પર વધુ ધ્યાન આપવું. શોર્ટ ટ્રિક્સ અપનાવવી કારણ કે 100 પ્રશ્નો હોય છે. ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જ પ્રવેશ લઇ લે છેMBA અને MCAમાં પ્રવેશ માટે લેવામાં આવતી CMATની પરીક્ષા આપ્યા વિના જ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી જોવા મળી રહી છે. કારણ કે, આ કોર્સમાં ઘણી સીટો ખાલી રહેતી હોવાને કારણે અનેક કોલેજો અને ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ જ પ્રવેશ આપી દે છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે કોઈ વિદ્યાર્થીને ટોપની કોલેજમાં પ્રવેશ લેવો હોય તે જ CMATની પરીક્ષા આપવાનો આગ્રહ રાખે છે. બાકી ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જ પ્રવેશ લઇ લે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:59 am

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ પગલું:ઉદ્યોગ સાહસિકતા માટે જ્ઞાનમંજરીના ગુજરાત સરકાર સાથે એમઓયુ થયા

જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત સરકારના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે વ્યૂહાત્મક ભાગીદારીના સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે. ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાંરૂપે, જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનરેટ હેઠળના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે સમજૂતી પત્ર (MoU) પર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી અંતર્ગત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માં ઉદ્યોગસાહસિકતા પ્રત્યે પ્રેરણા જગાડવા, સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધારવા તથા નવીન વિચારોને વ્યવસાયિક રૂપ આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ MOUના અમલથી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (EDP), ઉદ્યોગસાહસિક જાગૃતિ કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકોને સ્ટાર્ટઅપ સ્થાપવા માટે જરૂરી માર્ગદર્શન મળી રહેશે. આ સાથે જ, સ્ટાર્ટઅપ્સને જરૂરી પ્રમાણપત્રો, સરકારી યોજનાઓ તેમજ ફંડિંગ અને નાણાકીય સહાય મેળવવા માટે યોગ્ય દિશા નિર્દેશ અને સહયોગ પ્રાપ્ત થશે. ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેના આ મજબૂત સહકારથી સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉદ્યોગસાહસિકો તૈયાર કરવામાં આ સમજૂતી કરાર મહત્વપૂર્ણ સાબિત થશે. જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને સીઈઓ ડો. એચ. એમ. નિમ્બાર્કે જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક ભાગીદારી કરાર (MoU) થકી યુનિવર્સિટીનું ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વધુ સુદ્રઢ બનશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:58 am

કોર્ટનો ચુકાદો:24 વર્ષ પહેલા રેલીમાં તોડફોડના કેસમાં મુસ્લિમ સમાજના આગેવાનોને નિર્દોષ છોડવા કોર્ટનો ચુકાદો

શહેરમાં લગભગ 24 વર્ષ પહેલા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા નીકળેલ રેલી દરમિયાન તોડફોડ અને મારામારીના બનેલ બનાવવામાં પોલીસે સમાજના આગેવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે અંગેનો કેસ આજે કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. 24 વર્ષ પહેલા ભાવનગરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા રેલીનું આયોજન કર્યું હતું. તે રેલી દરમિયાન તોડફોડ અને મારામારીના બનાવો બન્યા હતા. જે બનાવ અંગે જે તે સમયે ભારે ચકચાર મચાવી હતી. આ પ્રકરણમાં મુસ્લીમ સમાજના આગેવાનોને પકડીને તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:57 am

રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આયોજન:અંધાપો રોકવા માટે મોતિયાના દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે

રોટરી ક્લબ ઓફ ભાવનગર છેલ્લા 82 વર્ષથી અનેકવિધ સામાજિક કાર્યો કરી રહી છે. તેના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ ના હેતુસર મોતિયાના દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે સી.એસ.આર. પાર્ટનર અલંગ ઓટો એન્ડ જનરલ એન્જિનિયરિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી શાંતિ કાસ્ટિંગ્સ , નારી રોડ, કુંભારવાડા ખાતે તારીખ 25/1/2026 ને રવિવારે સવારે 9 થી 12 દરમિયાન ભાવનગરના ખ્યાતનામ અને અનુભવી આંખના સર્જન રો. ડો. સંજય સવાણી અને તેમની ટીમ દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવશે તથા જરૂરિયાતવાળા દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. તો જાહેર જનતાને આનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ છે . રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો મોબાઇલ નંબર 9825915676, 9725371912, મોબાઇલ નંબર 9898068540.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:56 am

સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં નિર્ણય:હાઈરાઇઝ બિલ્ડીંગોમાં આગ રોકવા 15 કરોડના ખર્ચે 60 મીટર ઊંચાઈનું રેસ્ક્યુ વાહન ખરીદાશે

સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મહાનગર પાલિકાના અંદાજપત્રની વિસ્તૃત ચર્ચા દરમિયાન ભાવનગર શહેરના લોકોની સુવિધામાં વધારો કરવા અંગે સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો તથા પદાધિકારીઓ દ્વારા આગામી વર્ષમાં ભાવનગર શહેરીજનોની સુવિધામાં વધારો થાય તે માટેની વિવિધ કામગીરી, પ્રોજેકટની અમલવારી કરવા સૂચના આપવામાં આવેલી હતી. ભાવનગર શહેરમાં આઠ-દસ માળથી વધુની બિલ્ડીંગો બની રહી છે ત્યારે સલામતીને લક્ષમાં રાખી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા અંદાજે રૂપિયા 15 કરોડની રકમનું 60 મીટર ઉંચાઈનું રેસ્કયુ કામગીરી માટેનું હાઇડ્રોલીક ટર્ન ટેબલ લેડર વાહન વસાવવા, ફાયર વિભાગ ખાતે આધુનિક બોટ તથા તળાવમાં ઉંડે સુધી રેસ્કયુ - ઇમરજન્સી કામગીરી માટેના રોબોટીક કેમેરા સહિતના સાધનો ખરીદવા કાર્યવાહી કરવા કમિટી દ્વારા જણાવ્યું હતું. જરૂરિયાત મુજબ ટેન્ડરીંગથી આઉટસોર્સીંગથી સ્ટાફ જે-તે એજન્સી પાસેથી લેવામાં આવે છે તે અંગે પોલિસી બનાવવામાં આવનાર છે. શહેરમાં હાલ ઘરવેરા, વ્યવસાયવેરા સહિતના બિલો ઓનલાઇન તથા વોટસએપના માધ્યમથી મોકલવામાં આવે છે તેમાં જે-તે કરદાતાઓનો વેરો બાકી હોય તેઓને પેન્ડીંગ બિલ બાબતે માસિક રિમાઇન્ડર મોકલવાની સિસ્ટમ શરૂ કરવા કાર્યવાહી કરવામાં આવનાર છે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનની હદમાં આવેલ સ્મશાનોને રૂા.75 હજારની વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરી સ્મશાનોની જરૂરિયાત મુજબ રૂા.2 લાખ સુધીની આર્થિક સહાય આપવા અંગે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સૂચના આપવામાં આવેલ છે. હેલ્થ સેન્ટરોમાં વિશેષ ટેસ્ટ રિપોર્ટ પણ થશેહેલ્થ વિભાગ દ્વારા શહેરમાં 3 સી.એચ.સી., 14 પી.એચ.સી. તથા અન્ય આરોગ્ય કેન્દ્રો પર રૂટિન તબીબી રીપોર્ટ સાથે રીએજન્ટ થકી થતા વિશેષ થાઇરોઇડ ફંકશન, ઓટોઇમ્યુન, ટ્યુમર માર્કર(કેન્સર માટે), પ્રી-નેટલ સ્ક્રીનીંગ, ઇન્ફેકશન ડીસીસ, ગ્લાયકોમેટાબોલીઝમ વિગેરેના ટેસ્ટ રીપોર્ટ થઇ શકે તે માટે જરૂરી મશીનો તથા સાધનો વસાવવા સૂચના અપાઈ છે. ગેરંટી પિરિયડ વાળા રોડ રીપેર નહીં કરનાર એજન્સી બ્લેક લિસ્ટ થશેશહેરમાં યુટીલીટી લાઇનો તથા અન્ય કારણોસર જયારે રોડ ખોદવાનો થાય તેમાં થતી કાર્યવાહી અંગે એસ.ઓ.પી. બનાવી રોડ થતા ખર્ચ અનુસાર વસૂલ કરવાના થતા ચાર્જ રિવાઇઝ કરવા ઉપરાંત ગેરંટી પીરીયડવાળા રોડ એજન્સી દ્વારા રીપેર ન કરવાના કિસ્સામાં એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની તથા સરકારની ગાઇડલાઇન મુજબ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:54 am

તમાકુ ઉદ્યોગ પર કેન્દ્રનો મોટો પ્રહાર:તમાકુ ઉદ્યોગ પર 40% GST અને CCTV ફરજિયાત

કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી, 2026થી તમાકુ, પાન મસાલા, ગુટખા, સુગંધી (સુગંધી) જર્દા અને સિગારેટના ઉત્પાદન અને વેપારને નિયંત્રિત કરતા કર અને પાલન માળખામાં મોટા પાયે ફેરફારની જાહેરાત કરી છે. તમાકુ, પાન મસાલા અને સંલગ્ન ઉત્પાદનોના ઉત્પાદકોએ હવે તેમની ફેક્ટરીઓમાં CCTV કેમેરા લગાવવા અને ઓછામાં ઓછા બે વર્ષ માટે ફૂટેજ સાચવવાની જરૂર પડશે. આ પગલાં GST હેઠળ કડક એક્સાઇઝ-યુગ નિયંત્રણો રજૂ કરતી વખતે કરના બોજમાં વધારો કરે છે. નવા માળખા હેઠળ, આ ઉત્પાદનો પર લાગુ દરે એક્સાઇઝ ડ્યુટી સાથે 40 ટકાના દરે GST લાગશે. આ અગાઉના 28 ટકાના GST દરથી તીવ્ર વધારો દર્શાવે છે, જે વળતર સેસ સાથે વસૂલવામાં આવતો હતો. આ પગલાનો ઉદ્દેશ્ય કરચોરીને રોકવા અને મહેસૂલ અને જાહેર આરોગ્યના દૃષ્ટિકોણથી લાંબા સમયથી ઉચ્ચ જોખમ તરીકે જોવામાં આવતા ક્ષેત્રમાં દેખરેખને મજબૂત બનાવવાનો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે જૂનો એક્સાઇઝ નોંધણી નંબર ધરાવતા ઉત્પાદકોને નવો નંબર મેળવવાની જરૂર રહેશે નહીં. જોકે, એક્સાઇઝ નોંધણી વગરના ઉત્પાદકોએ નવી નોંધણી માટે અરજી કરવી પડશે, જે ફક્ત આ નિર્દિષ્ટ ઉત્પાદનોના ઉત્પાદકોને જ લાગુ પડે છે. દરેક પેકિંગ મશીન પર પ્રતિ મિનિટ ઉત્પાદિત પાઉચની સંખ્યા - બહુવિધ પાઉચ લાઇન સહિત - મૂલ્યાંકન કરેલ ઉત્પાદન નક્કી કરશે. 2 રૂપિયા અને તેથી વધુ કિંમતના પાઉચ માટે, માસિક અને પ્રતિ-મિનિટ ઉત્પાદનની ગણતરી મશીન દીઠ કરવામાં આવશે અને ઉત્પાદિત જથ્થા તરીકે ગણવામાં આવશે. ઉત્પાદકોએ એક્સાઇઝ પોર્ટલ પર ફોર્મ CE DEC-01 માં વિગતવાર ઘોષણા ફાઇલ કરવી આવશ્યક છે, જેમાં ગિયરબોક્સ રેશિયો, ફનલની સંખ્યા અને ટ્રેક જેવા તકનીકી પરિમાણો જાહેર કરવામાં આવશે. આ વિગતો ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા પ્રમાણિત હોવી જોઈએ અને ફોર્મ CE CCE-01 માં પ્રતિ-સહી કરવી આવશ્યક છે. સબમિટ કરવાની અંતિમ તારીખ 7 ફેબ્રુઆરી, 2026 છે, અથવા ઉત્પાદન શરૂ થવાના સાત દિવસ પહેલા, જે પણ વહેલું હોય તે છે. મશીનોના કોઈપણ રિપેકેજિંગ અથવા ઉમેરા માટે 15 દિવસની અંદર નવી ઘોષણા કરવાની જરૂર પડશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:53 am

SIRની કામગીરી:આખરી મતદાર યાદીમાં ભાવનગરમાં નવા નામ માટે 29,295 ફોર્મ મળ્યા

તા.1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) હાથ ધરવામાં આવી છે. જેમાં તા. 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે. હવે તા.22 જાન્યુઆરી સુધીમાં મળેલા ફોર્મ અંગે માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ ભાવનગર જિલ્લામાં નામ કમી અને સુધારણા માટે ફોર્મ નં.7 માટે કુલ 40,555 ફોર્મ મળ્યા છે. જ્યારે નવા નામ માટે જિલ્લામાં 29,295 ફોર્મ મળ્યા છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ ભાવનગરમાંથી 29,295 ફોર્મ 6 અને 6એ મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 40,555 ફોર્મ 7 મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા દાવાઓ અને વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં નવા નામ માટે 6,54,594 અરજીરાજ્યમાં નવા નામ ઉમેરવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, 22 જાન્યુઆરી સુધીમાં નવા નામ ઉમેરવા માટે કુલ 6,54,594 જેટલા ફોર્મ 6 અને 6A મળ્યા છે. આ આંકડો દર્શાવે છે કે યુવા મતદારો અને બાકી રહી ગયેલા નાગરિકોમાં સજ્જતા જોવા મળી છે. નામ કમી-સુધારણા માટે 12,59,229 ફોર્મરાજ્યમાં મતદાર યાદીના શુદ્ધિકરણ અંતર્ગત જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 12,59,229 ફોર્મ 7 પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, વિગતોમાં સુધારણા કે સ્થળાંતર માટે ફોર્મ 8 હેઠળ કુલ 5,04,835 અરજીઓ મળી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:51 am

સીએસટી, કુર્લા, પ્રભાદેવી પર ક્રાઉડ મેનેજમેન્ટ માટે સર્વે હાથ ધરાશે

સર્વેના તારણોને આધારે સ્ટેશન પર અનેક ફેરફારો થશે પુણે અને નાસિક સ્ટેશનો પર પણ આવો સર્વે કરાશેઃ દરેક સ્ટેશન માટે ખાસ ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન રચાશે મુંબઇ - મુંબઇ સબર્બન ટ્રેનોમાં દિવસો દિવસ વધતી જતી ભીડને ધ્યાનમાં લઇ પેસેન્જરોની સલામતી અને સુવિધા માટે સ્ટેશનોનો સર્વે કરીને પછી ભીડ નિયમન માટેની યોજના ઘડવામાં આવશે. ધ રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (આરઆઇટીઇએસ) તરફથી મુંબઇના પરાંના સ્ટેશનો અને બહારગામની ટ્રેનોના ટર્મિનસો પર પ્રવાસીઓને રોજિંદી અવરજવર અને ધસારાને સમયે થતી ભારે ભીડની બાબતે વિગતવાર સર્વે કરવામાં આવશે. મહારાષ્ટ્રના અન્ય મહત્વના શહેરોના સ્ટેશનો પર પણ આ રીતે સર્વે હાથ ધરવામાં આવશે.

ગુજરાત સમાચાર 24 Jan 2026 5:30 am

રાજકોટ ચેમ્બરે કસ્ટમ્સને રિફંડ ચૂકવવા આપ્યું અલ્ટિમેટમ:નિકાસકારોના કરોડો રૂપિયા અટવાયા રિફંડ અટકતા ઉદ્યોગકારો નારાજ

રાજકોટ–સૌરાષ્ટ્રના હજારો નિકાસકારોના લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું IGST રિફંડ યાંત્રિક ખામીને કારણે લાંબા સમયથી અટકેલું હોય નિકાસક્ષેત્રમાં ગંભીર નાણાકીય સંકટ સર્જાયું છે. આ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુંદ્રા કસ્ટમ્સ કમિશનરને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાના જણાવ્યા મુજબ નિકાસકારો દેશના અર્થતંત્રનો મજબૂત આધારસ્તંભ છે. વિદેશી મૂડી રોકાણ વધારવામાં તેમજ રોજગાર સર્જવામાં નિકાસક્ષેત્રનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમ છતાં નિકાસકારોના IGST રિફંડ અટકાવાતા તેમની નાણાકીય સ્થિતિ ગંભીર રીતે અસરગ્રસ્ત બની છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:29 am

રાજકોટનું ગૌરવ:દોઢ વર્ષમાં અટલ સરોવરની 14 લાખ સૌંદર્ય-પ્રકૃતિપ્રેમીઓએ મુલાકાત લીધી

રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો હીરા સમાન અમૂલ્ય પ્રોજેક્ટ, અટલ સરોવર, આજદિન સુધી 14 લાખથી વધુ મુલાકાતીઓ માટે ખુલ્લું થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2024માં આ સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું અને 1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસ પર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. સોલાર પેનલ સાથે 600 ફોર-વ્હિલર અને 1000 ટૂ-વ્હિલર પાર્કિંગ, બે એમ્ફિથિયેટર, ખુલ્લા અને બંધ ફૂડ કોર્ટે, 58 દુકાનો અને વિશાળ પ્રવેશ પ્લાઝા જેવા આધુનિક માળખા દ્વારા આ સરોવર શહેરની શાન વધારતું કેન્દ્ર બની ગયું છે. 75 એકરમાં ફેલાયેલા સરોવરની વિશેષતા એ છે કે તેને ‘રિડ્યૂસ, રિયૂઝ અને રિસાઇકલ’ના 3R સિદ્ધાંતો પર વિકસાવવામાં આવ્યું છે. 25 એકરમાં 477 મિલિયન લિટર પાણી સંગ્રહ ક્ષમતા અને બાકીના 50 એકરમાં હરિત ક્ષેત્ર, મનોરંજન અને જાહેર સુવિધાઓ છે. ચોમાસામાં વરસાદી પાણીનું કુદરતી સંગ્રહ અને ઉનાળા દરમિયાન રિસાઇકલ પાણીનો પ્રયોગ કરીને આ સરોવર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત 3R સિદ્ધાંતોનું પ્રદર્શન કરે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:28 am

પત્નીએ કર્યો આપઘાત:પતિ પ્રેમિકા સાથે ભાગી જતાં પત્નીનો ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ

લગ્ન બાદ અનૈતિક સંબંધોના કિસ્સાઓમાં સ્ત્રી અથવા પુરુષ જીવલેણ પગલાં ભરી લેતા હોય છે, અંતે પરિવારનો પણ માળો વિખાઇ જાય છે. એવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં પત્નીએ પરસ્ત્રી સાથે પતિની અંગત પળોની તસવીર પતિના મોબાઈલમાં જોઈ જતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પતિ તેની પ્રેમિકાને લઈને ભાગી જતા પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના 80 ફૂટ રોડ, સત્યમપાર્કમાં પતિ પ્રેમિકા સાથે ભાગી જતા પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરતા પત્નીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલા પતિના મોબાઇલમાંથી થોરાળાની મહિલા સાથે પતિના અંગત પળોની તસવીરો પત્ની જોઈ ગઈ હતી. આ બાબતે પતિને પૂછતાં પતિ લાજવાને બદલે ગાજવા લાગ્યો હતો. પતિએ લાજ-શરમ નેવે મુકીને પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જે પછી તા.14 જાન્યુઆરીના રોજ પતિ બે બાળકોની માતા એવી સ્ત્રી મિત્ર સાથે કોઈ જગ્યાએ નાસી ગયો હતો. પત્નીએ ઘણી જગ્યાઓએ જઈ શોધખોળ કરી પણ બંનેની કોઈ ભાળ મળી નહોતી. અંતે પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેણી સારવાર હેઠળ છે. પોલીસે તેણીનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:25 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:મુંબઇથી ભાઈને મળવા રાજકોટ આવેલા યુવકનું અકસ્માતમાં મોત

શહેરના સામા કાંઠે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં રાજકોટ નાનાભાઈને મળવા માટે મુંબઈથી ચાર દિવસ પહેલા નીકળેલા યુવકનું ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો બાઇકચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ નેપાળનો અને હાલ મુંબઇ હોટેલમાં રહી નોકરી કરતો કલ્પેશભાઇ હિમ્મતભાઇ વિશ્વકર્મા(ઉ.વ.30) નામનો યુવાન રાતે પેડક રોડ પ્રમુખ સ્વામી આર્કેડ પાસે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો બાઇકચાલકે ઠોકર મારી ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર કલ્પેશભાઇ બે ભાઈ અને બે બહેનમાં મોટો હતો. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ચારેક દિવસ પહેલા તે મુંબઇથી રાજકોટ આવ્યો હતો. તેનો ભાઇ રણછોડનગર વિસ્તારમાં રહેતો હોય તેને મળવા આવ્યો હતો. રાતે તેનો ભાઇ અરૂણ પેડક રોડ પર પંજાબી ચાઇનીઝના ફૂડ સ્ટોલ પર હતો તેને મળીને ચાલીને રણછોડનગરમાં ભાઈના ઘરે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:22 am

સગીરા દ્વારા આપઘાતનો પ્રયાસ:કૌટુંબિક મામા સાથે લગ્ન કરવાની જીદ ન સંતોષાતા સગીરાનો આપઘાતનો પ્રયાસ

કળિયુગે માઝા મૂકી છે. કૌટુંબિક મામા સાથે 16 વર્ષની સગીરાને પ્રેમસંબંધ બંધાયો હોય જે બાબતે માવતરે ઠપકો આપતા તેણીએ ફિનાઇલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની પ્રાત વિગત અનુસાર, શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય સગીરાએ વહેલી સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પીએસઆઈ ગજેરા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સગીરાને કૌટુંબિક મામા સાથે પ્રેમસંબંધ હોવાનું પરિવારને માલૂમ પડતા માતા-પિતાએ તેણીને આ અંગે ઠપકો આપ્યો હોય જે વાતનું માઠું લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યા મુજબ, સગીરાના માતા-પિતાએ તેણીને અન્ય યુવક સાથે પરણાવવાની વાત કરતા મામા સાથે પ્રેમસંબંધ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. માતા-પિતાએ તેણીને પ્રેમસંબંધ ન રાખવા બાબતે ઠપકો આપતા તેણીએ આ પગલું ભર્યું છે. પોલીસે સગીરા અને તેના માતા-પિતાનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:22 am

આપઘાતનો પ્રયાસ:બીમારીથી કંટાળી કારખાનેદારે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો

શહેરના જિલ્લા ગાર્ડન પાસે સોરઠિયાવાડીમાં રહેતા અને પરસાણાનગરમાં કારખાનું ચલાવતા યુવકે બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જિલ્લા ગાર્ડન પાસે સોરઠિયાવાડી-6માં રહેતાં મનોજભાઈ દેવરાજભાઇ સરવૈયા(ઉ.વ.42) નામના યુવાને બાપુનગર નજીક પરસાણાનગર-4માં સ્મશાન પાસે આવેલા પોતાના કલ્પેશ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મનોજભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના છે અને સંતાનમાં બે દીકરી છે. તેના મોટા ભાઇ પણ સાથે જ કારખાનું ચલાવે છે. મનોજભાઈને કેન્સરની બીમારી હોય તેના કારણે કંટાળી જઇ આ પગલુ ભર્યું હતું. હાલ તે સારવાર હેઠળ છે. તેમણે ઝેર પીધા પહેલા સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં લખ્યું છે કે, મમ્મી, ઉષા, કલ્પેશભાઇ, કુકુમ, જેમીશા, મહેક, સાવન તમને બધાને હું હાથ જોડીને માફી માંગુ છું. હું આ પગલું ભરું છું એ બદલ. કેમ કે, હવે મારામાં હિંમત રહી નથી આ કેન્સરના રોગ સામે લડવાની. કેમ કે મને પાછું કેન્સર થઈ ગયું છે. રોજ હું મોઢાનો દુઃખાવો સહન કરી થાકી ગયો છું. એના માટે થઈને હું આ પગલું ભરું છું. મને માફ કરી દેજો બધા. લી. સરવૈયા મનોજ. પોલીસે આ ચિઠ્ઠી કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:21 am

યુનિ.એ નમતું જોખ્યું:ભારે વિરોધ બાદ Ph.D ફીમાં આંશિક ઘટાડો, પણ જૂના વિદ્યાર્થીઓ પર હજુ લટકતી તલવાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D કરી રહેલા સંશોધક વિદ્યાર્થીઓ પર ઝીંકવામાં આવેલા 260% જેટલા અસહ્ય ફી વધારાના મામલે યુનિવર્સિટી સત્તાધીશોએ નમતું જોખવું પડ્યું છે. વિદ્યાર્થીઓના વિરોધ અને રજૂઆતોને પગલે યુનિવર્સિટી દ્વારા ફીમાં આંશિક ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ છે કે, આ વધેલી ફી માત્ર નવા એડમિશન લેનારા વિદ્યાર્થીઓને લાગુ પડશે કે હાલમાં અભ્યાસ કરી રહેલા જૂના વિદ્યાર્થીઓને પણ? યુનિવર્સિટીએ હજુ સુધી આ બાબતે કોઈ લેખિત સ્પષ્ટતા કરી નથી. જોકે પરિપત્રમાં આ ફી વધારો વર્ષ 2025-26થી અમલી બનશે તેવું દર્શાવાયું છે. જો આ ફી વધારો જૂના વિદ્યાર્થીઓ પર થોપવામાં આવશે, તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના હજારો સંશોધકો પર આર્થિક બોજ વધશે. ઘણા વિદ્યાર્થીઓનું Ph.D. અંતિમ તબક્કામાં છે અથવા અડધે પહોંચ્યું છે, જેથી તેઓ હવે અભ્યાસ છોડી શકે તેમ નથી. આવા સંજોગોમાં ઊંચી ફી ભરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં. વિદ્યાર્થી સંગઠનોની માંગ છે કે, યુનિવર્સિટી વહેલી તકે જૂના વિદ્યાર્થીઓ માટે રાહતની જાહેરાત કરે, જેથી મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું સંશોધન કાર્ય અટકે નહીં. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે, જે વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, તેમને જૂની ફી મુજબ જ અભ્યાસ પૂર્ણ કરવા દેવામાં આવે. કારણ કે, સંશોધન કાર્ય અડધે પહોંચ્યા પછી ફીના વધારાને કારણે તે છોડવું શક્ય નથી, જેના કારણે વિદ્યાર્થીઓ ‘’નાછૂટકે’’ ઊંચી ફી ભરવા મજબૂર બનશે. હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી આગામી દિવસોમાં જૂના વિદ્યાર્થીઓ માટે કોઈ હકારાત્મક નિર્ણય લે છે કે પછી વિવાદ વધુ વકરશે. યુનિવર્સિટીના નવા નિર્ણય મુજબ, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટર્મ ફી જે અગાઉ રૂ.4600 નક્કી કરાઈ હતી, તેમાં ઘટાડો કરી હવે રૂ.3600 કરવામાં આવી છે. જ્યારે અન્ય તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ટર્મ ફી રૂ.3600થી ઘટાડીને રૂ.2600 કરવામાં આવી છે. એક રાહતના સમાચાર એ છે કે, અગાઉ જે લાઇબ્રેરી ફી દરેક ટર્મમાં ભરવી પડતી હતી, તે હવેથી કોર્સ દરમિયાન માત્ર એક જ વાર ભરવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:19 am

ભવ્ય આયોજન:વિશ્વકર્મા ધામ ખાતે 31મીએ 12 દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન યોજાશે

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આ વર્ષે શ્રી વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે 9 દિવસ “શ્રી વિશ્વકર્મા ધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વિશ્વકર્મા દાદાના પાંચેય પુત્રો (મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ) લુહાર, સુતાર, કંસારા, કડિયા પ્રજાપતિ, સોમપુરા, સોની વગેરે સમાજના લોકોને સાથે રાખીને ભવ્ય આયોજન કરાયું છે. શ્રી વિશ્વકર્મા જયંતીના દિવસે ભવ્ય શોભાયાત્રા સવારે 8:30 વાગ્યે શ્રી વિશ્વકર્મા ધામ, શાસ્ત્રી મેદાનથી પૂજાવિધિ સાથે પ્રસ્થાન થશે. જે સમગ્ર શહેરમાં નગરચર્યા કરી દિવાનપરા પ્રભુજીના મંદિર ખાતે બપોરે 12 વાગ્યે પહોંચશે. જયાં બપોરે 12:15 વાગ્યે રાજભોગ આરતી થશે અને જવેરા તેમજ દાદાની શાભાયાત્રા પૂર્ણ થશે. શોભાયાત્રામાં આગળ 10 બુલેટ, દાદાનો રથ, પાંચેય પુત્રનો રથ, 250 બાઇક, 100થી વધુ ગાડીઓ ટ્રેક્ટર, શણગારેલા રથ, જવેરાનો રથ અને વિશાળ સંખ્યામાં ભાઇઓ તથા બહેનો જોડાશે. શોભાયાત્રામાં દરેક જ્ઞાતિના ફ્લોટ્સ નિકળશે જેમાં શ્રેષ્ઠ રથને 1થી 3 નંબર અપાશે. 31મીએ વિશ્વકર્મા ધામમાં 12 દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન બપોરે 2 વાગ્યાથી યોજાશે. જેમાં મહંત અર્જુનદાસ બાપુ તથા શાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદી આશીર્વચન પાઠવશે. 25000 ભક્તોનું જ્ઞાતિભોજનછેલ્લા 10 વર્ષથી સતત આ આયોજન કરવામાં આવે છે. આ વર્ષ પહેલીવાર શાસ્ત્રીમેદાન ખાતે આયોજન કરાયું છે. અહીં દરેક સમાજને આમંત્રણ આપી રોજ સાંજે 8 વાગ્યે આરતી, દરરોજ સાંજે 9થી 10:30 સાંસ્કૃતિક કાર્યક્રમ, રોજ સવારે મંત્રજાપનો આહુતિ યજ્ઞ કરાશે. 31મીએ વિશ્વકર્મા જયંતિ પર જ્ઞાતિસમૂહ ભોજનમાં 25000થી વધુ ભક્તો પ્રસાદ લે તેવું આયોજન કરાયું છે તથા શાસ્ત્રી મેદાનમાં બપોરે 2થી 9 વાગ્યા સુધી અને દિવાનપરામાં પ્રભુજીના મંદિરે સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. પહેલા દિવસે ભગવાન વિશ્વકર્મા તથા તેમના પાંચ પુત્રોની આરતી કરાઇ.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:15 am

મનપાને મોટી રાહત:લીગસી વેસ્ટ મામલે મનપાને મોટી રાહત, NGTની રૂપિયા 22.50 કરોડની પેનલ્ટી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 18 વોર્ડમાંથી ટીપરવાન મારફત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહિત એકત્રિત થતો કચરો નાકરાવાડી ખાતે ઠલવવામાં આવી રહ્યો છે. આ સ્થળે સંગ્રહિત લીગસી વેસ્ટના કારણે પર્યાવરણ અને જનઆરોગ્યને નુકસાન થતું હોવાની દલીલ સાથે રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માં અરજી દાખલ કરી હતી. આ અરજીને પગલે એનજીટીએ રાજકોટ મહાનગરપાલિકાને રૂ.22.50 કરોડની પેનલ્ટી ફટકારી આ રકમ તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)માં ભરવા આદેશ કર્યો હતો. જોકે આ આદેશ સામે રાજકોટ મહાનગરપાલિકાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી નાકરાવાડી ખાતે લીગસી વેસ્ટના નિકાલ માટે હાથ ધરવામાં આવતી કામગીરીના પુરાવા તથા અન્ય આધારો રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, મહાનગરપાલિકાએ સાડા સાત લાખ ટન લીગસી વેસ્ટના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે 15મા નાણાપંચ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રાન્ટ મેળવી રૂ.35 કરોડનું ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરી દીધી હતી. શરૂઆતના તબક્કામાં જ અંદાજે 70 હજાર ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પણ કોર્ટને અવગત કરાવવામાં આવ્યું હતું. આ પુરાવાઓને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ સામે સ્ટે આપતા રાજકોટ મહાનગરપાલિકાને મોટી રાહત મળી છે અને રૂ.22.50 કરોડની પેનલ્ટી પર હાલ બ્રેક લાગી ગઈ છે. મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ લીગસી વેસ્ટના નિકાલની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટનો આદેશ આવે તે પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. સંભવતઃ આગામી પાંચ મહિનામાં તમામ લીગસી વેસ્ટનો સંપૂર્ણ નિકાલ કરવાનો લક્ષ્યાંક છે.’ સુપ્રીમની નોટિસ મળી નથી, મળ્યા બાદ જવાબ રજૂ કરીશ, કંપની સામે મનપાએ કાર્યવાહી કરવી જોઇએએનજીટીમાં દાદ માંગનાર શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા મનાઇહુકમની નકલ કે નોટિસ મને મળી નથી. નોટિસ મળ્યા બાદ હું મારો જવાબ રજૂ કરીશ. એબેલોન કંપનીએ 2018થી 2020 સુધીમાં કામ પૂરું કરવાનું હતું તેના બદલે તેમણે કામ કર્યું જ નથી. છતાં મનપાએ એજન્સી સામે કોઇ પગલાં લીધા નથી. આથી મનપાએ તેમની સામે પગલાં લેવા જોઇએ અને જે દંડ મહાનગરપાલિકાને થયો છે તે કંપની પાસેથી વસૂલવો જોઇએ. આ કંપનીએ ઇરડામાંથી લોન લીધી હતી ત્યાં પણ તેમનું ખાતુ એનપીએ થયું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:07 am

પ્રજાસત્તાક પર્વને પગલે એરપોર્ટમાં 31મી સુધી એલર્ટ:એરપોર્ટ પર મુસાફરોએ 3 કલાક વહેલા પહોંચવું પડશે, સામાન બે વખત ચેક થશે

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. રાજકોટના હિરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત ગુજરાતના તમામ એરપોર્ટ પર આગામી 31મી જાન્યુઆરી સુધી સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે. સામાન્ય દિવસોમાં મુસાફરો ફ્લાઈટના દોઢ-બે કલાક પહેલા એરપોર્ટ પહોંચતા હોય છે, પરંતુ હવે સુરક્ષા તપાસ વધુ કડક બનાવવામાં આવી હોવાથી મુસાફરોને એરપોર્ટ પર સામાન્ય કરતા વધુ સમય લાગી શકે છે. એરલાઈન્સ કંપનીઓએ અપીલ કરી છે કે, મુસાફરોએ પોતાની ફ્લાઈટના નિર્ધારિત સમયથી ઓછામાં ઓછા 3 કલાક વહેલા એરપોર્ટ પહોંચી જવું. સામાનની તપાસમાં વિલંબને કારણે ફ્લાઈટ મિસ ન થઈ જાય તે માટે આ સાવચેતી રાખવી જરૂરી છે. સુરક્ષા વ્યવસ્થા હેઠળ મુસાફરોના સામાનની એકને બદલે બે વખત સઘન ચકાસણી કરાશે.એરપોર્ટના એન્ટ્રી પોઈન્ટથી લઈને બોર્ડિંગ સુધીના પ્રોટોકોલમાં વધારો કરાયો છે. ખાસ કરીને શંકાસ્પદ વસ્તુઓ કે પ્રતિબંધિત સામાન અંગે કડક વલણ અપનાવવામાં આવશે. પાર્કિંગ એરિયાથી લઈને ટર્મિનલ બિલ્ડિંગ સુધી દરેક ગતિવિધિ પર સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. મુસાફરોએ આટલી બાબત ધ્યાનમાં રાખવી પડશે

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:04 am

સિટી એન્કર:સરહદે અટકેલો સંબંધ, પત્ની પાકિસ્તાનમાં, પતિ-બાળકો રાજકોટમાં

રાજકોટમાં બે સંતાનો સાથે રહેતો મુસ્લિમ યુવક ત્રણ વર્ષથી તેની પત્નીની રાહ જોઇ રહ્યો છે, કરાંચીમાં ત્રણ વર્ષથી્ ફસાયેલી પરિણીતાને વિઝા નહીં મળતાં તે તેના પતિ અને બાળકો સાથે રહી શકતી નથી, અનેક પ્રક્રિયા બાદ પતિ-પત્ની થાક્યા હતા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાનને અપીલ કરી હતી અને કરાંચીમા ફસાયેલી મહિલાને વિઝા આપવા આજીજી કરી હતી. રાજકોટના રૈયારોડ પર બાપા સીતારામ ચોક નજીકના આવાસ ક્વાટર્સમાં રહેતા પરવેજ શેખ નામના યુવકે કહ્યું હતું કે, વર્ષ 2015માં રાજકોટમાં તેના લગ્ન પાકિસ્તાનના કરાંચીની રેહાના સાથે થયા હતા, વર્ષ-2022માં વિઝા પૂરા થતાં રેહાના પાકિસ્તાન ગઇ હતી. પતિ અને બે બાળકો પણ તેની સાથે કરાંચી ગયા હતા, અઢી મહિના સુધી પરવેજ અને તેના બંને બાળકો ત્યાં રોકાયા પરંતુ તેમના પણ વિઝા પૂરા થતાં રાજકોટ પરત આવી ગયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગ સ્થિતિને કારણે રેહાના ફસાઇ હતી અને ઓપરેશન સિંદૂર બાદ વિઝા મુદ્દે વધુ કડકાઇ થતાં રાજકોટની પરિણીતાનું રાજકોટ આવવું મુશ્કેલ બન્યું હતું. પરવેજે કહ્યું હતું કે, પોતે ત્રણ વર્ષમાં અનેક વખત પાસપોર્ટ કચેરી, કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરીના ધક્કા ખાઇ ચૂક્યો છે, દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસી પણ પહોંચ્યો હતો પરંતુ પત્નીને પરત લાવવામાં સફળતા મળી નહોતી. અંતે પરવેજે શુક્રવારે વીડિયો બનાવી તેની પત્નીને વિઝા મળે તેવી અપીલ કરી હતી, કરાંચીથી રેહાનાએ પણ વીડિયો મારફત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી તે તેના પરિવારને મળી શકે, તેનું અને તેના પરિવારનું જીવન કઠિન બન્યું છે ફરીથી તે ધબકતું થાય તે માટે વિઝા આપવા અપીલ કરી હતી. પરવેજ શેખની આજીજી, ‘માતા પથારીવશ છે, ત્રણ વર્ષથી બહેન બંને બાળકોનું ધ્યાન રાખે છે’પરવેજ શેખે કહ્યું હતું કે, તેની પુત્રી આઠ વર્ષની અને પુત્ર પાંચ વર્ષનો છે, માતાને પેરેલિસિસ થયું હોવાથી તે પથારીવશ છે તેની બહેન બંને બાળકોનું ધ્યાન રાખે છે, પુત્રીને સવારે સ્કૂલે જવાનું હોય ત્યારે બહેન વહેલી ઉઠીને બાળકીને નવડાવીને તૈયાર કરે છે, બંને માસૂમ બાળકો ત્રણ વર્ષથી માતાનો વિયોગ સહન કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:02 am

વિરારમાં 10 માસમાં વાહનચાલકો પાસેથી 9.40 કરોડનો દંડ વસૂલાયો

આરટીઓ દ્વારા ૧૯ હજારથી વધુ વાહનો સામે કાર્યવાહી આરટીઓ દ્વારા ૧૯ હજારથી વધુ વાહનો સામે કાર્યવાહી મુંબઈ - વિરાર આરટીઓએ એક જાન્યુઆરીથી ત્રીસ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ૪૨,૨૫૦ વાહનોની તપાસ કરીને નિયમભંગ કરનારાં ૧૯,૧૮૨ વાહનો સામે કેસ દાખલ કરીને ૯.૪૦ કરોડનો દંડ વસૂલ્યો છે. પાલઘર અને વસઈ-વિરાર વિસ્તારોમાંથી મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પસાર થાય છે.

ગુજરાત સમાચાર 24 Jan 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભોજશાળામાં પૂજા અને નમાજ સાથે-સાથે, ધરણાં કરતા શંકરાચાર્યની તબિયત લથડી; 24 કલાકમાં 3 પોલીસકર્મીની આત્મહત્યા

નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર મધ્યપ્રદેશના ભોજશાળામાં એક સાથે પૂજા અને નમાજ વિશે હતા. બીજા મોટા સમાચાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની બગડતી તબિયત હતી, જેઓ પાંચ દિવસથી ધરણાં પર બેઠા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર ગૃહમંત્રી અમિત શાહ લખનઉમાં ઉત્તર પ્રદેશ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કાલના મોટા સમાચારો 1. MPની ભોજશાળામાં પૂજા અને નમાઝ સાથે-સાથે:વાગ્દેવીનો હવન ચાલતો રહ્યો, વોલેન્ટિયર જેકેટમાં કરી ખુદાની ઈબાદત; 8 હજાર જવાનોએ સંભાળી સુરક્ષા મધ્ય પ્રદેશમાં ધારની ભોજશાળામાં વસંત પંચમી પર મા વાગ્દેવીની પૂજા અને જુમાની નમાઝ સાથે-સાથે કરાવવામાં આવી. શુક્રવારે સવારે 6 વાગ્યે સૂર્યોદયની સાથે જ હિન્દુ સમાજે સરસ્વતી પૂજન શરૂ કરી દીધું, જે સૂર્યાસ્ત સુધી ચાલ્યું. બીજી તરફ, બપોરે 1 થી 3 વાગ્યા સુધી ભોજશાળા પરિસરમાં જ મુસ્લિમ સમાજે નમાઝ અદા કરી. આ પ્રસંગે કોઈ પણ અપ્રિય સ્થિતિથી બચવા માટે જિલ્લા વહીવટી તંત્રએ પૂરી તત્પરતા દાખવી. ભોજશાળા પરિસરને 6 સેક્ટર જ્યારે શહેરને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ, CRPF અને રેપિડ એક્શન ફોર્સના 8 હજારથી વધુ જવાનો શહેરભરમાં તહેનાત રહ્યા. ડ્રોન અને AIની મદદથી ખૂણે-ખૂણે નજર રાખવામાં આવી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. અવિમુક્તેશ્વરાનંદની તબિયત લથડી:ભારે તાવ, 5 દિવસથી ધરણાં પર બેઠા; 5 કલાક સુધી વાનમાં સૂતા રહ્યા જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યને એક સમજદાર નેતા ગણાવ્યા. તેમણે કહ્યું, નાયબ મુખ્યમંત્રી જ્ઞાની છે અને સમજે છે કે આપણા અધિકારીઓએ ભૂલ કરી છે. તેઓ સમજે છે કે આ બાબતને આ રીતે આગળ વધારવી જોઈએ નહીં. આનાથી આપણને નુકસાન થઈ રહ્યું છે. આવા જ્ઞાની વ્યક્તિ મુખ્યમંત્રી હોવા જોઈએ. જે વ્યક્તિ ઘમંડી અને હઠીલા છે તે મુખ્યમંત્રી ન હોવો જોઈએ. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યએ ગુરુવારે કહ્યું હતું કે, હું પૂજ્ય શંકરાચાર્યજીના ચરણોમાં નમન કરું છું અને તેમને સ્નાન કરવા વિનંતી કરું છું. જો કોઈ પૂજ્ય સંત કે શંકરાચાર્યજીનું અપમાન થયું હોય, તો અમે તપાસ કરીશું અને કાર્યવાહી કરીશું. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાંચ દિવસથી પ્રયાગરાજ માઘ મેળામાં તેમના શિબિરની બહાર ધરણા પર બેઠા છે. શુક્રવારે સવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમને ખૂબ તાવ આવ્યો. સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી, તેઓ દવા લેતા તેમની વેનિટી વાનમાં આરામ કરતા હતા. જ્યારે ભીડ એકઠી થઈ ગઈ, ત્યારે તેઓ બહાર આવ્યા અને તેમની પાલખીમાં બેસી ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. મનાલી-શિમલા બન્યું 'મિની સ્વિટ્ઝર્લેન્ડ', PHOTOS:ભારે બરફવર્ષાથી પહાડો રૂ જેવી સફેદ ચાદરથી ઢંકાયા, ટૂરિસ્ટો મસ્તી કરતા જોવા મળ્યા; અનેક ઘરની છત ઊડી હિમાચલ પ્રદેશના ઊંચા પહાડો પર મોડીરાતથી બરફવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. શિમલા અને મનાલી સહિત રાજ્યના ઘણા ભાગોમાં આ શિયાળાની ઋતુનો પહેલી હિમવર્ષા થઈ. શિમલામાં બરફ જોઈને કેટલાક પ્રવાસીઓ સવારથી જ રસ્તાઓ પર આવી ગયા અને બરફથી રમવા લાગ્યા. બીજી તરફ, શિમલામાં મોડીરાતથી જ બરફનું તોફાન ચાલી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પછી સાડા 3 મહિનાનો સૂકો ગાળો તૂટ્યો છે. ચંબાના ભરમૌરમાં તો બર્ફીલા તોફાનથી 10થી વધુ ઘરોની છત પણ ઊડી ગઈ, જ્યારે કુલુના જલોડી જોતમાં ભારે બરફવર્ષાને કારણે પાંચ પ્રવાસી ફસાઈ ગયા છે. તેમણે વીડિયો જાહેર કરીને મદદની વિનંતી કરી છે. વીડિયોમાં પ્રવાસીઓ કહી રહ્યા છે કે બર્ફીલા તોફાનને કારણે તેમના તંબુમાં બરફ આવી રહ્યો છે. જલદી અમારું રેસ્ક્યૂ કરવામાં આવે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. સોનાનો ભાવ ₹1.55 લાખ પહોંચ્યો:ચાંદી 23 દિવસમાં ₹21,000 મોંઘી થઈ, આજે ₹11,994 ભાવ વધીને 3.12 લાખ/પ્રતિ કિલો થઈ આજે, 23 જાન્યુઆરીએ સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સવારે સોનું 1,55,428 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. જોકે, ત્યારબાદ તેનો ભાવ થોડો ઘટ્યો અને તે 3,182 રૂપિયા વધીને 1,54,310 રૂપિયા પર બંધ થયો. અગાઉ, તે 1,51,128 રૂપિયા હતું. તે જ સમયે 1 કિલો ચાંદી 11,994 રૂપિયા વધીને 3,11,705 રૂપિયા પર પહોંચી ગઈ. અગાઉ, ગુરુવારે તે 2,99,711 રૂપિયા હતી. આ વર્ષે માત્ર 23 દિવસમાં, સોનું 21,115 રૂપિયા અને ચાંદી 81,285 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. PM મોદીએ કહ્યું- તમિલનાડુમાં DMK સરકારનું કાઉન્ટડાઉન શરૂ:અહીંની સરકાર બસ એક પરિવારની જી-હજૂરીમાં લાગેલી છે; એમના વાયદા ઘણા, કામ ઝીરો PM મોદીએ શુક્રવારે તમિલનાડુના ચેંગલપટ્ટુમાં કહ્યું કે રાજ્યના લોકો DMKના કુશાસનમાંથી મુક્તિ ઈચ્છે છે. આપણે તમિલનાડુને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવું છે. DMK સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આજે તમિલનાડુની સરકારને લોકશાહી કે જવાબદારી સાથે કોઈ લેવાદેવા નથી. DMK સરકાર બસ એક પરિવારની જી-હજૂરીમાં લાગેલી છે. એમની પાર્ટીમાં જે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરે છે તે આગળ વધે છે. તમિલનાડુનો એક-એક બાળક જાણે છે કે ક્યાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ કમાણી કોના ખિસ્સામાં જઈ રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર:84 દિવસ બાદ જેલમુક્ત થશે, ગોંડલ સેશન્સ કોર્ટે આપ્યાં શરતી જામીન ગોંડલના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાના જામીન ગોંડલ કોર્ટે મંજૂર કર્યા છે. આ નિર્ણય બાદ રાજદીપસિંહ 84 દિવસના જેલવાસ બાદ મુક્ત થશે. રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા ઘણા સમયથી જેલમાં હતા. ગુનો નોંધાયા બાદ તેઓ લગભગ છ મહિના સુધી ફરાર રહ્યો હતો. તેણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ રાહત ન મળતા આખરે 10 નવેમ્બર, 2025ના રોજ તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 7. રાજ્યમાં 24 કલાકમાં 3 પોલીસકર્મીની આત્મહત્યા:ભરૂચ, ભાવનગર બાદ ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે જિંદગી ટૂંકાવી, બાળકોને સ્કૂલે મૂકી આવીને ગળાફાંસો ખાધો રાજ્યમાં 24 કલાકમાં જ ત્રણ પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી લીધી છે. 22 જાન્યુઆરીના રોજ ભાવનગર અને ભરૂચમાં અને હવે ગાંધીનગરમાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. એને પગલે સમગ્ર પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના પેથાપુર નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ઉજ્જૈનના તારાણામાં બસ-દુકાન સળગાવી, મંદિર પર પથ્થરમારો:CCTVમાં યુવકો પથ્થરમારો કરતા કેદ; 13 બસોમાં તોડફોડ, 15ની ધરપકડ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ શું કોઈ બીમારીથી પીડાય છે ટ્રમ્પ?:હાથમાં દેખાયાં વાદળી નિશાન, પત્રકારોએ સવાલ પૂછ્યો તો કહ્યું, મારો હાથ ટેબલ સાથે અથડાયો હતો... (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જૈશનો આતંકી ઠાર:બિલાવર વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ; કિશ્તવાડ હુમલામાં જવાન શહીદ થયો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ અમેરિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન છોડ્યું:WHOના ₹2 હજાર 380 કરોડ બાકી; અમેરિકાએ કહ્યું- ચુકવીશું નહીં, જરૂરિયાત કરતાં વધુ આપી ચૂક્યા છીએ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ અચાનક કેમ તૂટ્યું શેરબજાર?:રોકાણકારોના 21 લાખ કરોડ સ્વાહા!, છેલ્લા અઠવાડિયામાં ચોથી વખત મોટો ઘટાડો; અદાણીના શેર તૂટ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. એન્ટરટેઇમેન્ટઃ પલાશ મુછાલે ફરી સ્મૃતિ મંધાનાનું દિલ તોડ્યું!:કિક્રેટરના બાળપણના મિત્રનો ₹40 લાખનો રોલ માર્યો, ફિલ્મ બનાવવાના નામે છેતરપિંડી કર્યાનો આરોપ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ રાજકોટમાં બીજા જ દિવસે પંજાબ સામે સૌરાષ્ટ્ર જીત્યું:કેપ્ટન ગિલ ફ્લોપ સાબિત થયો, જાડેજાએ મેચમાં 53 રન સાથે 2 વિકેટ લીધી; પાર્થ ભૂતે મેચમાં 10 વિકેટ ઝડપી (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ છત્તીસગઢમાં 40 વર્ષ જૂનો લોખંડનો પુલ રાતોરાત ચોરાઈ ગયો છત્તીસગઢના કોરબામાં એક 40 વર્ષ જૂનો પુલ રાતોરાત ચોરાઈ ગયો. ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કર્યો અને 80 ફૂટ લોખંડની રેલિંગ કાપી નાખી. આ ઘટના 17 જાન્યુઆરીના રોજ બની હતી. ચોરીમાં લગભગ 15 લોકો સંડોવાયેલા હતા, જેમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: બાળકો, મોબાઇલ અને માનસિક કેન્સર:વાલીઓ માટે ચેતવા જેવા ચાર શૉકિંગ કિસ્સા, ઓસ્ટ્રેલિયા પછી બ્રિટન પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધની તૈયારીમાં 2. 'મોદીજી, મને પાકિસ્તાનથી ભારત બોલાવી લો':રાજકોટમાં લગ્ન બાદ કરાચીમાં ફસાઈ, રડતાં-રડતાં કહ્યું, મને બાળકોથી અલગ ન કરો, પતિએ ભાસ્કરને જણાવી આપવીતી 3. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પના હાથમાં વાદળી નિશાન શેનું?, ગ્રીનલેન્ડનું નામ ભૂલ્યા ને ગરબાની કરી નાખી વાત; શું કોઈ બીમારીથી પીડાય છે જગત જમાદાર? 4. ‘હત્યા થઈ એ દિવસે મારી પત્ની સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી’:સાબરમતી જેલના કેદીની કબૂલાત; જેલ SP કહે, ‘અમારા મહેમાન ન બનો એ જ તમારા માટે સારું છે’ 5. સિપ્પી પરિવારના દીકરાની લાશ મળી, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ:'શોલે' ફૅમ ડિરેક્ટરે ત્રણ સંતાનો હોવા છતાં 17 વર્ષ નાની એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા 6. 'છોકરી પસંદ કરો, ફસાવવાનું કામ અમારું':કોન્ટ્રેક્ટ લઈને હનીટ્રેપ અને સેક્સટોર્શન કરનારનો પર્દાફાશ, સગીરો સાથે વીડિયો બનાવતા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ રાશિના જાતકોના સપના થશે સાકાર, કુંભ રાશિના લોકોને વેપારમાં મળશે મોટી સફળતા; જાણો તમામ 12 રાશિઓનું ભાગ્ય! (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 5:00 am

ભાસ્કર એક્સપોઝ:નેક્ષસ બિલ્ડિંગ વિવાદ , હવે કાયદેસર કરી દેવાનો તખ્તો

રાજકોટના માધાપર ચોકડી પાસે કોર્નર પર ખડકી દેવામાં આવેલું 12 માળનું નેક્ષસ બિલ્ડિંગ સંપૂર્ણ ગેરકાયદે હોવાનું અગાઉ જ સાબિત થઇ ગયા બાદ તત્કાલિન ટીપીઓએ તેને સીલ કરવા પણ નોટિસ ઇસ્યુ કરી દીધી હતી. પરંતુ આ નોટિસની અમલવારી કરવાના બદલે હવે ક્રિસ્ટલ નેક્ષી બિલ્ડિંગને કાયદેસર કરી દેવા તખ્તો ગોઠવાયો છે અને તેનો એક માળ પાડી દઇ ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ અથવા અન્ય રીતે કાયદેસર કરવા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ગોઠવણ કરી નાખી છે અને તેનો સમગ્ર દોરીસંચાર કોઈ ફિચડિયા નામની વ્યક્તિ કરી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ક્રિસ્ટલ નેક્ષસ બિલ્ડિંગને એકથી બે સપ્તાહમાં રેગ્યુલરાઇઝડ કરી દેવા અંદરખાને જોરશોરથી આયોજન ચાલી રહ્યું છે અને જો આ થશે તો ગેરકાયદે બાંધકામ કરનારા કૌભાંડીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા સોનાના ઇંડા આપતી મરઘી બની જશે તેમાં બેમત નથી. શહેરમાં ક્રિસ્ટલ મોલ સહિત અનેક બિલ્ડિંગ બાંધનાર બિલ્ડર બાકીર ગાંધી અને તેના ભાગીદારો દ્વારા માધાપર ચોકડી પાસે નેક્ષસ બિલ્ડિંગ બાંધવાનો પહેલો રહેણાક હેતુનો પ્લાન રૂડામાં મુકવામાં આવ્યો હતો. આ સમયે માધાપર ચોકડીની હદ રાજકોટ શહેરમાં નહીં પરંતુ રૂડામાં આવતી હતી. આ જગ્યા રાજકોટ-જામનગર હાઇવે પર આવતી હોવાથી રીબન રૂલ્સ મુજબ બાંધકામ નિયંત્રણ રેખા નક્કી કરવા રૂડાએ માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો હતો અને માર્ગ અને મકાન વિભાગે રહેણાક બાંધકામ હોય તો માર્ગની મધ્યરેખાથી 40 મીટર પછી બાંધકામ કરી શકાશે અને તે મુજબ રૂડાએ પ્લાન મંજૂર કર્યો હતો. જો કે ત્યારબાદ કોમર્શિયલ બાંધકામ માટેની મંજૂરી માંગવામાં આવી હતી ત્યારે માર્ગ અને મકાન વિભાગને ફરી અભિપ્રાય માટે પત્ર લખતા આરએન્ડબીના કાર્યપાલક ઇજનેરે કોમર્શિયલ બાંધકામ માટે માર્ગની મધ્યરેખાથી 60 મીટરની જગ્યા રાખવા કહ્યું હતું અને તેમાં પણ શરત હતી કે, બાંધકામ થયું ન હોવું જોઇએ. જ્યારે બાકીર ગાંધીએ તો 40 મીટર પણ જગ્યા છોડી ન હોય આ આખું બિલ્ડિંગ રહેણાક માટે તો ગેરકાયદે હતું જ અને હવે કોમર્શિયલ માટે પણ ગેરકાયદે થઇ ગયું હતું. ત્યારબાદ આ બિલ્ડિંગને કોમર્શિયલમાં ફેરવવા મહાનગરપાલિકામાં નોંધ મુકાઇ હતી અને તેને મંજૂરી આપી દેવાઇ હતી. આ બિલ્ડિંગ બની ગયા બાદ ફરી માર્ગ અને મકાન વિભાગનો અભિપ્રાય માંગતા ત્યાંથી સ્પષ્ટ જવાબ આવ્યો હતો કે બાંધકામ થયા બાદ કોઇ અભિપ્રાય આપવાનો થતો નથી અને બાંધકામ પહેલા આરએન્ડબીએ જે અભિપ્રાય આપ્યો છે તેને જ અનુસરવાનું છે, જેના પગલે આખું બિલ્ડિંગ ગેરકાયદે હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બિલ્ડિંગના પ્રકરણમાં મહાનગરપાલિકાએ સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલાળિયો કરી નાખ્યો છે અને હવે ફરી બાકીર ગાંધીના બિલ્ડિંગને કાયદેસરતા આપવા તખતો ગોઠવાયાનું ભીતરના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેના માટે 12 માળના બિલ્ડિંગનો ટોપ ફલોર તોડી પાડી બાકીનું બાંધકામ 2022 પહેલા થયું છે તેવું દર્શાવી અથ‌વા અન્ય રીતે કાયદેસર કરવા કવાયત આદરી છે. એટીપી જતીન જે. પંડ્યાના નામે પ્રોજેક્ટ પાસ કરાવી લેવાનો ખેલ હોવાની પણ આશંકામનપાના સેન્ટ્રલ ઝોનના એટીપી જતીન જે.પંડ્યા ટૂંક સમયમાં નિવૃત્ત થવાના હોવાથી તેઓ રજા પર ઉતરી ગયા છે ત્યારે તેમના નામે આ પ્રોજેક્ટને કાયદેસર કરી નાખવા તખતો ગોઠવાયાની ચર્ચા પણ મહાનગરપાલિકામાં થઇ રહી છે. ભીતરમાં ચર્ચાતી વિગતો મુજબ એટીપી જતીન જે.પંડયા નિવૃત્ત થતા હોય તેના નામે પ્રોજેક્ટ પાસ કરાવી લેવાનો ખેલ પણ નાખવામાં આવે અને બાદમાં તેઓ નિવૃત્ત થઇ ગયા તેમ બતાવી મામલો આટોપી લેવાય તે દિશામાં પણ કૌભાંડીઓ મથામણ કરી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. ટીપીઓએ હેતલ સોરઠિયા પર ‘ખો’ દીધીનેક્ષસ બિલ્ડિંગમાં લીગલ અભિપ્રાય આવ્યો નથી ત્યારે કાર્યવાહી મુદ્દે પૂછતા ટીપીઓ પરમારે આ માટે સેન્ટ્રલ ઝોનના ટીપીઓ હેતલ સોરઠિયા પર ખો દીધી હતી. હેતલ સોરઠિયાએ ટીપીઓનો ચાર્જ સંભાળ્યો ત્યારે નેક્ષસ બિલ્ડિંગ મુદ્દે કાર્યવાહી કરવાની જોરશોરથી જાહેરાત કરી હતી અને બાદમાં હવે પાણીમાં બેસી ગયા છે અને કોઇ કાર્યવાહી ન કરતા તેમના વલણ પણ અનેક શંકા ઉભી કરી રહ્યા છે. આ છે કૌભાંડનો કાળો ઇતિહાસ01. રૂડાએ આઠેક વર્ષ પહેલા પ્લાન પાસ કર્યો હતો02. બેઝમેન્ટમાં બીમ બોટમથી ક્લિયર હાઇટ નિયમ મુજબ 2.80 મીટર જરૂરી છે જ્યારે આ ક્રિસ્ટલ નેક્ષસ કોમર્શિયલ બિલ્ડિંગમાં આ હાઇટ 2.50 મીટર છે.03. બિલ્ડિંગમાં ફાયર એક્ઝિટ આપવામાં આવી નથી. કૌભાંડ છતું થતા ફાયર એક્ઝિટના નામે બિલ્ડિંગની બારોબાર રાતોરાત મોટી સીડી ગેરકાયદે બનાવેલી છે.04. સ્ટેટ હાઇવે ઓથોરિટીના નિયમોનું પાલન કરેલ નથી.05. જીડીસીઆરના નિયમોનું પાલન કરાયું નથી.06. આરએન્ડ નો નિયંત્રણ રેખા મુદ્દે 12 વખત અભિપ્રાય લેવાયો07. 14-5-2025ના રોજ ક્રિસ્ટલ નેક્ષસ બિલ્ડિંગ સીલ કરવા મનપાએ હુકમ કર્યો હતો તેનું પાલન ન કરાયું08. કમ્પ્લિશન સર્ટિફિકેટ અને બી.યુ. આવ્યા બાદ જ વીજ કનેકશન, પાણી પુરવઠા અને ડ્રેનેજ સહિતની સુવિધા આપવાનો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પણ અવમાન કરાયું છે.09. બિલ્ડિંગની મોટાભાગની મિલકતો વેંચી નાખવામાં આવી છે અને તેના દસ્તાવેજો પણ કરી નાખવામાં આવ્યા છે10. સીલ કરવા હુકમ બાદ હવે ફરીથી ટીપીઓએ લીગલ અભિપ્રાય માંગ્યો કે નેક્ષસ બિલ્ડિંગમાં શુ કાર્યવાહી કરવી? આ કારણે તંત્ર કૌભાંડીઓને બચાવવા દોડતું થયુંરાજકોટના રૈયા રોડ પર સુભાષનગર મેઇન રોડ પર રહેતા કૃષ્ણદત્ત આર.રાવલે પોલીસ કમિશનર સમક્ષ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, સિટી એન્જિનિયર સેન્ટ્રલ ઝોન, સી.એ. એન્ટરપ્રાઇઝ કંપનીના ભાગીદારો મુસ્તફા એફ.ગાંધી, તસ્નીમ બાકીર ગાંધી તથા તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ આઇપીસી કલમ-166,167, 219, 342 મુજબ એફઆઇઆર નોંધવા લેખિત ફરિયાદ કરી છે. જેમાં ક્રિસ્ટલ નેક્ષસ કોમર્શિયલ બિલ્ડિંગ ગેરકાયદે બનાવવામાં આવ્યાની રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:58 am

નોકરીની સુવર્ણ તક:NITમાં ઓફિસરની ભરતી થશે, પગાર રૂ. 2 લાખ સુધીનો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) રાઉરકેલા દ્વારા નોન-ટીચિંગ સ્ટાફ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લાઇબ્રેરિયન, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સાયન્ટિફિક ઓફિસર જેવી કુલ 09 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો ઉચ્ચ વય મર્યાદા ધરાવે છે તેમના માટે આ સુવર્ણ તક છે, કારણ કે લાઇબ્રેરિયન પદ માટે વય મર્યાદા 56 વર્ષ સુધી રાખવામાં આવી છે. પદ મુજબ લાયકાતમાં માસ્ટર્સ ડિગ્રી, BE/B.Tech અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવ જરૂરી છે. પસંદગી પામનાર ઉમેદવારોને પે-લેવલ મુજબ માસિક રૂ. 56,100 થી રૂ. 2,18,200 સુધીનો આકર્ષક પગાર મળશે. રસ ધરાવતા ઉમેદવારો 19 ફેબ્રુઆરી 2026 સુધી સત્તાવાર વેબસાઇટ www.nitrkl.ac.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. આયુષમાં ફ્રેશર પાસેથી અરજી મંગાવા આવીઆયુષ મંત્રાલય દ્વારા યંગ પ્રોફેશનલના 6 પદો માટે લાયક ઉમેદવારો પાસે અરજી મંગાવાઈ છે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 40,000 ફિક્સ પગાર અપાસે. વય મર્યાદા 1 જુલાઈ, 2026ના રોજ ઉમેદવારની ઉંમર 32 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ભરતી માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી B.Tech, MBA કે સમકક્ષ ટેકનિકલ ડિગ્રી. માસ્ટર્સ, M.Phil, PhD કે અનુભવી ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. હિન્દી અને અંગ્રેજી લેખન કૌશલ્ય સાથે કોમ્પ્યુટર ટેકનોલોજીનું જ્ઞાન હોવું જરૂરી છે. આ નિમણૂક એક વર્ષ માટે છે તેમજ કામગીરી આધારને ધ્યાને રાખીને સમયગાળો લંબાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:44 am

નશાની હાલતમાં ગંભીર અકસ્માત:મોટાવરાછામાં નશામાં ધૂત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે કારથી બે બાઈકચાલકોને ઉડાવ્યા

શહેરના મોટાવરાછામાં દુખીયા દરબાર પાસે ગુરુવારે મોડીરાતે દારૂના નશામાં કાર ચલાવી રહેલા ઈન્ફ્લુએન્સર હિરેન બુહાએ બે બાઈકચાલકોને ઉડાવી દીધા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કારચાલકને બહાર કાઢ્યો હતો. ચાલક નશામાં હોવાનું જણાતા લોકોએ ઈન્ફ્લુએન્સરને બરાબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. બીજીતરફ બન્ને બાઇકચાલકોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને બાઇકને નુકસાન થયું હતું. બન્ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે બાદમાં બન્ને બાઇકચાલકોએ ફરિયાદ કરવાને બદલે સમાધાન કરી લીધું હતું. આથી ઉત્રાણ પોલીસે જાતે ફરિયાદી બની ઈન્ફ્લુએન્સર હિરેન હકા બુહા (28) (મૂળ રહે,ગોપાલગામ, જુનાગઢ)ની સામે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે તેની કાર અને દારૂ સહિત 10 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જાહેરાતની રીલ બનાવવા સુરત આવ્યો હતોજુનાગઢનો ઈન્ફ્લુએન્સર હિરેન બુહા દર મહિને બે વખત રીલ બનાવવા માટે સુરત આવતો હતો. 22મી તારીખે તે મોટા વરાછામાં એક જાહેરાતનો વીડિયો બનાવવા આવ્યો હતો. આ પહેલાં તે સવારે મિત્ર સાથે કારમાં દમણ ગયો હતો. જ્યાં તેણે રીલ બનાવ્યું હતું. દમણથી સાંજે સુરત પરત ફર્યા બાદ હિરેન બુહાએ મોટા વરાછામાં રીલ બનાવી હતી. દારૂ પીધેલી મસ્તીનો વીડિયો બન્યો ચર્ચાનો વિષયઈન્સ્ટાગ્રામ પર 7 લાખ ફોલોઅર્સ ધરાવતા હિરેન બુહાએ સોશિયલ મીડિયામાં મિત્ર સાથે દારૂ પીધેલો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો જોઈ તેના એક મિત્રએ પૂછ્યું કે, “કેમ ભાઈ, લાંબો પડી ગયો છે ?” ત્યારે ઈન્ફ્લુએન્સરે જવાબ આપ્યો કે, “હવે પૂરું થઈ ગયું ભાઈ.” અન્ય વીડિયોમાં મિત્રએ ઈન્ફ્લુએન્સરને કહ્યું હતું કે, “એ મોટા, એક વાત કરું ?” જેથી ઈન્ફ્લુએન્સરે “કે. કે” પછી મિત્રએ કહ્યું કે “પી ગયા પછી મોરે મોરો જાય” એના જવાબમાં ઈન્ફ્લુએન્સરે કહ્યું કે, “તારી વાત બધી સાચી છે, અત્યારે થોડું પાણી નાખ, કોરે કોરો જાય.”

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:40 am

માતાજીને વિશિષ્ટ શૃંગાર તેમજ 56 ભોગ ધરાવાયા:માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વરાછા ઉમિયાધામમાં નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ

ઉમિયા પ્રાગટ્ય દિવસ નિમિત્તે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વરાછા ઉમિયાધામ મંદિર ખાતે સુરતમાં રહેતા કડવા પાટીદાર સમાજના જુદા જુદા ગ્રુપનો પદયાત્રા સંઘ ઉમિયાધામ પહોંચ્યા હતા. મુખ્ય શોભાયાત્રા લાલ દરવાજાથી પ્રારંભ કરીને વરાછા ઉમિયાધામ પહોંચી હતી. 11 જેટલા પદયાત્રા સંઘ ઉમિયાધામ મંદિર પહોંચ્યા હતા અને માતાજીના પૂજન-અર્ચન બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ જશવંત પટેલ, મંત્રી રાજુ પટેલ સહિત હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.નવચંડી યજ્ઞ અને માતાજીને વિશિષ્ટ શૃંગાર તેમજ 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા.ધવજારોહણ બાદ સામુહિક આરતી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:35 am

વેસુ શ્યામ મંદિરનો પાટોત્સવ યોજાયો:પીળા ફૂલોથી બાબાનો દરબાર શણગારાયો

વીઆઈપી રોડ વેસુ ખાતે શ્રીશ્યામ મંદિર, સુરતનો નવમો પાટોત્સવ વસંત પંચમીના શુભ અવસરે શુક્રવારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે મંદિરના પ્રાંગણને સજાવવામાં આવ્યું હતું અને બાબા શ્યામનો વિવિધ પ્રકારના પીળા ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો હતો તેમજ તેમને પીળા વસ્ત્રો (વાઘા) ધરાવવામાં આવ્યા હતા. પાટોત્સવ નિમિત્તે સવારે સાત વાગ્યાથી મંદિરમાં પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે બાબાને રાજભોગ અને છપ્પન ભોગ અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી. આ અવસરે સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠનું વાચન કરવામાં આવ્યું હતું. વસંત પંચમી પર બાબાના મનોહર શ્રૃંગારના દર્શન માટે ભક્તોની લાંબી કતારો મોડી રાત સુધી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:35 am

મહત્વનો નિર્ણય:કઠોદરામાં 8 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવા નિર્ણય

શહેરમાં સમાવિષ્ટ કઠોદરા વિસ્તારમાં આવેલી એમનીટીઝ સ્પેસની ખાલી જગ્યામાં પાલિકાએ કોમ્યુનિટી હોલ બનાવવાની મંજૂરી આપી છે. અંદાજે ₹8.57 કરોડના ખર્ચે તૈયાર થનારો આ હોલ સ્થાનિક લોકોના સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી ધારણા છે. કઠોદરા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વસ્તીમાં મોટો ઉછાળો આવ્યો છે. મધ્યમ વર્ગીય પરિવારોને ખાનગી વાડીઓ કે હોલના મસમોટા ભાડા ન ચૂકવવા પડે તે હેતુથી પાલિકાએ આ સુવિધા ઉભી કરવાનું નક્કી કર્યું છે. આ હોલમાં પાર્કિંગ, ડાઈનિંગ એરિયા અને આધુનિક ઈલેક્ટ્રિફિકેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. બિલ્ડિંગથી લઈને સીસીટીવી સુધીનું આયોજન પાલિકા દ્વારા તૈયાર કરાયેલા અંદાજ મુજબ, આ પ્રોજેક્ટમાં માત્ર બિલ્ડિંગના બાંધકામ પાછળ જ ₹4.75 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:34 am

લોકોની ફરિયાદોને મુખ્યમંત્રી કાર્યાલયે ગંભીરતાથી લીધી:ગટરમાં પાણીની લાઈન, કચરા કૌભાંડ સહિતના મુદ્દે સરકારે ખુલાસો માંગ્યો

પાલિકાની ઘોર બેદરકારી, લોકોની ફરિયાદોને મુખ્યમંત્રી કાર્યાલયે અત્યંત ગંભીરતાથી લીધું છે. ગટરની કુંડીમાંથી પીવાના પાણીની લાઈન, લીકેજની ફરિયાદો અને રોડમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરકારના આદેશ બાદ ડેપ્યુટી કમિશનરે તમામ ઝોનલ વડાઓ પાસે ખુલાસો માંગ્યો છે. મીડિયાના અહેવાલોથી હવે જ્યારે સીધું ગાંધીનગરથી દબાણ આવ્યું છે ત્યારે બેદરકાર અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાની આ ગેરરીતિઓ ગાંધીનગર સુધી ગાજી ઊઠી ન્યૂઝ છપાય તે દિવસે સાંજ સુધીમાં ખુલાસો કરવો પડશેડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ, જે દિવસે સમાચાર પ્રસિદ્ધ થાય તે જ દિવસે સાંજ સુધીમાં તેનો લેખિત પ્રત્યુત્તર મહાપાલિકાના જનસંપર્ક વિભાગ અને કલેક્ટર કચેરીને મોકલી આપવો પડશે. આ પ્રત્યુત્તરની નકલ મ્યુનિસિપલ કમિશનરના પી.એ. ને પણ મોકલવાની રહેશે, જેથી કામગીરીનું સીધું મોનિટરિંગ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:33 am

બિલ્ડરોની પાલિકાને રજૂઆત:‘માત્ર કન્સ્ટ્રક્શન સાઈટ જ પ્રદૂષણ નથી કરતી, સરકારી પ્રોજેક્ટોને પણ દંડ કરો’

શહેરમાં વધતા પ્રદૂષણને રોકવા માટે પાલિકાએ કન્સ્ટ્રક્શન સાઈટ સામે દંડની કાર્યવાહી તેજ કરી છે. જેથી બિલ્ડરો અકળાયા છે. તેમનું કહેવું છે કે, ‘પાલિકા માત્ર ખાનગી બિલ્ડરોને ટાર્ગેટ કરે છે, સરકારી પ્રોજેક્ટો અને મોટા કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં લેવાતા નથી.’ બિલ્ડર એસોસિયેશનના જણાવ્યા મુજબ, શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ, સરકારી બિલ્ડિંગો અને પાલિકાનાં વિકાસ કામો મોટા પાયે ચાલી રહ્યાં છે. આ સાઈટો પર ઘણી વખત ગ્રીન નેટ, ડસ્ટ કંટ્રોલ અને પાણીના છંટકાવ જેવી નિયમિત વ્યવસ્થા હોતી નથી છતાં પાલિકા તેમને દંડ ફટકારતી નથી. હાલ બિલ્ડરો માટે બાંધકામની પિક સિઝન છે. ચોમાસા પહેલાં બેઝમેન્ટ અને સ્ટ્રક્ચરલ કામ પૂરું કરવું જરૂરી છે. આ સ્થિતિમાં દંડથી પ્રોજેક્ટ ખર્ચ વધે છે અને કામમાં વિલંબ થાય છે. ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગો પણ પ્રદૂષણ ફેલાવે છે છતાં તેમની સામે અસરકારક કાર્યવાહી થતી નથી. નિષ્ણાતોના મતે કન્સ્ટ્રક્શન સેક્ટર માત્ર 3 ટકા પ્રદૂષણ કરે છે છતાં સૌથી વધુ કાર્યવાહી થાય છે. સરકારી કોન્ટ્રાક્ટરો, મેટ્રો પ્રોજેક્ટ અને ઉદ્યોગો સામે પણ સમાન કાર્યવાહી કરે તે જરૂરી છે. બિલ્ડરો સ્થિતિ સમજે તે પહેલાં જ આક્રમક કાર્યવાહીક્રેડાઈ પ્રમુખ જીજ્ઞેશ પટેલે કહ્યું કે, ‘ગાઈડ લાઈન બનાવવામાં સુરત ક્રેડાઈએ મદદ કરી હતી. બિલ્ડરોને સમજણ આપવા સેમિનારોનું પણ આયોજન કર્યું હતું, પરંતુ બિલ્ડરો હજી સમજી શકે તે પહેલાં જ પાલિકાએ બિલ્ડરોને દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે, જે અયોગ્ય છે.’

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:32 am

સિટી એન્કર:આજથી 26 જાન્યુઆરી સુધી સરસાણામાં ફૂડ બેવરેજીસ એક્સપો 500 ફૂડ આઈટમ 33%થી 50% સુધીના ડિસ્કાઉન્ટ પર માણી શકાશે

ચેમ્બર ઓફ કોમર્સ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર 24થી 26 જાન્યુઆરી સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્સપોનું આયોજન કરશે, જેમાં એન્ટ્રી ફ્રી છે. એક્સપોમાં 500થી વધુ ફૂડ આઈટમન મુકવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ નીખીલ મદ્રાસીએ કહ્યું હતું કે, આ એક્સપોમાં ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓની મજા એકછત નીચે માણી શકશે. દેશ–વિદેશની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ સાથે આશરે 500થી વધુ ફૂડ આઇટમ્સના સ્વાદનો આનંદ માણી શકાશે. પરંપરાગત વાનગીઓથી લઈને આધુનિક, હેલ્ધી અને નવીન ખાણીપીણીના વિકલ્પો સુધીની વિશાળ પસંદગી એક્ષ્પોની ખાસ ઓળખ રહેશે, જ્યાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે અનોખો ફૂડ અનુભવ મેળવી શકશે. જેમાં 33 ટકાથી લઈને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ વિવિધ સ્ટોલ ધારકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ એકિઝબિશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી 156 એકિઝબિટર્સે ભાગ લીધો છે. ’ ફૂડ, બેવરેજીસ અને પેકેજિંગ માટેના રોબોટ્સ પણ જોવા મળશેચેમ્બરના કિરણ ઠુંમરે કહ્યું કે, ‘અદ્યતન રોબોટ પણ મુકાશે, જે આપોઆપ બોટલોને ઉઠાવીને બોકસમાં ગોઠો છે, જેથી ઉત્પાદન ઝડપી બની ચોકસાઈ વધે છે. આ મશીનરી ફૂડ, બેવરેજીસ અને પેકેજિંગ માટે મહત્ત્વની છે.’ ઊર્જા, પાચન અને સમગ્ર હેલ્થ વેલનેસ માટેની પ્રોડક્ટ મુકાશેએક્સપોના ચેરમેન કે.બી. પિપલિયાએ કહ્યું કે, ‘ઓર્ગેનિક મોરિંગા લીફ પાવડર, મોરિંગા જીરૂ પાવડર, મોરિંગા સૂપી શોટ્‌સ તથા ટેબ્લેટ્‌સ જેવી મુખ્ય પ્રોડકટ હશે, જેનાથી ઊર્જા, પાચન અને સમગ્ર હેલ્થ વેલનેસ લાવે છે.’ ઇન્સ્યુરન્સ, ફાયનાન્શિયલ સોલ્યુશન, મશીનરી પણ હશેચેમ્બર ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે, ‘ફૂડ પ્રોસેસિંગ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇક્વિપમેન્ટ એન્ડ રેફ્રિજરેશન, વેર હાઉસિંગ-કાર્ગો હેન્ડલિંગ, ફૂડ ટેસ્ટિંગ લેબ, ઇન્સ્યુરન્સ એજન્સી, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફૂડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ વગેરે પ્રદર્શનમાં મુકવામાં આવશે. ’

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:29 am

ભાસ્કર એક્સક્લુસિવ:મેટ્રો ટ્રેનમાં લઘુતમ ભાડું 10 અને મહત્તમ 40 રૂપિયા રાખવા પ્રસ્તાવ, દર 4થી 8 મિનિટે ટ્રેન મળી રહેશે

આ વર્ષના અંત સુધીમાં કે 2027ની શરૂઆતમાં મેટ્રો દોડતી થઈ જશે. GMRCએ લોન્ચિંગની તૈયારી પણ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ મેટ્રોના ભાડા અને ટ્રેનની ફ્રિક્વન્સી પર વિચાર-વિમર્શ શરૂ કર્યો છે. પ્રારંભિક દરખાસ્ત મુજબ લઘુતમ ભાડું ₹10 નક્કી કરાયું છે, જ્યારે મહત્તમ ₹40 જેટલું રહેશે. દર 4થી 8 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. પિક અવર્સ દરમિયાન મુસાફરોનો ટ્રાફિક વધતાં ટ્રેનોની ફ્રિક્વન્સી પણ વધારાશે. કુલ 40.35 કિમીના રૂટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ડ્રીમ સિટીથી કાદરશા નાળ સુધીના 9 ક્મીના કોરિડોર પર સિવિલ વર્ક 93 ટકા થઈ ગયું છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રાયલ રન હાથ ધરશે. આ પહેલાં ભાડાં નક્કી કરવા ચર્ચા ચાલી રહી છે અને એક પ્રસ્તાવ તૈયાર કરાયો છે. મેટ્રો ભાડા સ્લેબ પર અંતિમ નિર્ણય GMRC બોર્ડ અને રાજ્ય સરકારના સ્તરેથી લેવામાં આવશે. મેટ્રોનું CBTC (કોમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ) સિસ્ટમથી સુરક્ષિત અને સરળ સંચાલન કરાશે. ડિજિટલ ટિકિટિંગ માટે QR કોડ અને NFC જેવી ટેકનોલોજીનો પણ વિચાર કરાઈ રહ્યો છે. ફ્રિકવન્સી ટ્રાફિક-ક્ષમતા મુજબ નક્કી કરાશેમુસાફરની સુવિધા માટે મેટ્રો ટ્રેન સવારે 5થી રાત્રે 12 વાગ્યા સુધી ચલાવવાનો પ્રસ્તાવ છે. પિક અવર્સ દરમિયાન ટ્રેનો દર 4થી 8 મિનિટે દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ફ્રિક્વન્સી મુસાફરોના ટ્રાફિક, કાર્યકારી ક્ષમતા અને ખર્ચના આધારે નક્કી કરવામાં આવશે. કામગીરી શરૂ થાય તે પહેલાં અંતિમ સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. પ્રસ્તાવિત ભાડા અમદાવાદ કરતાં ભાડાં વધુ હોવાથી ફેરફાર શક્યઅધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓપરેટિંગ વિભાગની રચના પછી અંતિમ ભાડા સ્લેબ નક્કી કરાશે. ભાડા સ્લેબ શરૂઆતમાં સ્થાપિત કરાયા છે. ઓપરેટિંગ વિભાગની રચના પછી મુસાફરોની સંખ્યા, સંચાલન ખર્ચ, વીજળી અને જાળવણી ખર્ચ અને સરકારી સબસિડી જેવા પરિબળોના આધારે ભાડામાં ફેરફાર કરાશે. દરખાસ્તમાં અમદાવાદ મેટ્રો કરતાં સુરત મેટ્રો માટે વધુ ભાડું સૂચવવામાં આવ્યું છે, જેથી સ્લેબ ઘટાડી શકાય છે. લાંબા અંતરની મુસાફરી કરનારને ફાયદોપ્રસ્તાવિત ભાડા સ્લેબ મુજબ, લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ફાયદો થશે. એકથી ત્રણ સ્ટેશન વચ્ચે મુસાફરી કરવા માટે ₹૧૦નો ખર્ચ થશે, જ્યારે ૨૦ કે તેથી વધુ સ્ટેશનોની મુસાફરી માટે ફક્ત ₹૪૦નો ખર્ચ થશે. ઓટો-રિક્ષા અને ખાનગી વાહનોની તુલનામાં મેટ્રોને વધુ સસ્તું વિકલ્પ બનાવવા માટે અંતરના આધારે આ ભાડું નક્કી કરવામાં આવી રહ્યું છે. જોકે, સુરત મેટ્રોના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ દરખાસ્ત માટે ફક્ત પ્રારંભિક વિચારણા છે. ઓપરેટિંગ વિભાગ રચાયા પછી ભાડા માળખા પર નવો નિર્ણય લેવાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:26 am

પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ:વાંકાનેર-મોરબી હાઇવે પર વાહનચાલકોને સલામતી - સુરક્ષાના પાઠ પોલીસે શીખવ્યા

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટુ-વ્હીલર વાહનચાલકો માટે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી તેમને હેલ્મેટ પહેરવાની સમજ આપવામાં આવી હતી જેમાંથી કેટલાક વાહન ચાલકોને સ્થળ પર જ પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવ્યા હતા, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. સાથે જ ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરલ હોય તેમને અધિકારીઓ દ્વારા ગુલાબના ફુલ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રકારની કાર્યવાહીથી હાઇવે પર અકસ્માતોમાં ઘટાડો લાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા ટ્રાફિક પોલીસની કડક કામગીરી ચાલુ રહેશે તેમ જણાવાયું હતું. આ ડ્રાઈવમાં પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ મોરબી વિભાગ, નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગ, ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ધેલા , પોલીસ ઇન્સ્પેકટર વી.એન. પરમાર બી ડીવી, એસ.કે. ચારેલ મોરબી તાલુકા, એચ.એ. જાડેજા વાંકાનેર સીટી, બી.વી. પટેલ વાંકાનેર તાલુકા તેમજ મોરબી આર.ટી.ઓ અધિકારી તપન બી. મકવાણા વિગેરે અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:13 am

લાભાર્થીઓ લાભથી વંચિત થયા:મોરબીના દલવાડી સર્કલ પાસે બનાવવામાં આવેલા આવાસો લોકાર્પણ થાય તે પહેલાં જ ખખડી ગયા

મોરબીમાં દલવાડી સર્કલ પાસે નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ આશરે નવેક વર્ષ પહેલા બનાવેલા 500 થી વધુ આવાસોની હજુ સુધી લાભાર્થીઓને સોંપણી કરાઈ ન હોવાની ઘણી જ દુઃખદ બાબત છે. એનાથી પણ વધુ આઘાતજનક બાબત એ છે કે, નવેક વર્ષથી પડતર હાલતમાં રહેલા આ આવાસોનું લોકાપર્ણ થાય એ પહેલાં જ ખંડિત થઈ ગયા છે. એટલે એમાં રહેવું જોખમકારક હોય યોગ્ય રીપેરીંગ કરીને લાભાર્થીઓને સોંપવાની આજે આવી રહેલા મુખ્યમંત્રી સમક્ષ આપના આગેવાન દ્વારા લાભાર્થીઓને સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે મોરબીના શ્રમજીવી પરિવારો અને આર્થિક રીતે નબળા પરિવારોને 2 રૂમ, રસોડું અને જાજરૂ વાળા મકાનો પૂરા પાડવાના આશ્રય સાથે સરકારી યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે મકાનો બનાવવામાં આવ્યા હતા અને જો કે, હજુ સુધી કામ સો ટકા પૂર્ણ કરવામાં આવ્યું નથી અને લાભાર્થીઓને મકાનનો કબ્જો આપવામાં આવ્યો નથી. છેલ્લા 9 વર્ષથી આ મકાન પડતર હાલતમાં છે અને સરકારી ગ્રાન્ટ રૂપે પ્રજાના રુપિયાનું પાણી કરવામાં આવ્યું છે આટલું જ નહીં આ ફ્લેટના લાભાર્થીઓ પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાનું ઉઘરાણું કરી નાખેલ હોય છતાં પણ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ નથી. આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અત્યાર સુધી મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ તેમજ તંત્ર લાભાર્થીઓને કવાર્ટરની સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. હજુ 6 માસ બાદ લાભાર્થીઓને આવાસો સોંપાશે આપના નેતાની રજુઆત સામે મનપાના આવાસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના કામધેનુ બાયપાસ પાસે દલવાડી સર્કલ નજીક સરકારી જગ્યામાં ઘર વિહોણા લોકો માટે 608 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસનો ડ્રો 22,3,2021માં કરવામાં આવ્યો હતો અને આ આવાસોના લાભાર્થીઓની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. તેથી 608 અધૂરા રહેલા આવાસોનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એટલે આ અધૂરા કામ પૂરા કરવામાં હજુ 6 માસનો સમય લાગશે. પછી જ લાભાર્થીઓને એ મકાનો સોંપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:11 am

આપઘાતનો મામલો આવ્યો સામે:મોરબીના ઘૂટુંમાં યુવાને ફાંસો લગાવી આપઘાત કરી લીધો

મોરબીના ઘૂટું ગામ નજીક આવેલી ફેકટરીના લેબર કવાર્ટરમાં રહેતા એક યુવાને ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગતમ મુજબ મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા ઘૂટું રોડ પર આવેલા ઓરીન્ડા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના શીખરધાટી ગામના યુવાન ધાંગા જીગલા મારંડી નામના યુવાને કોઈ કારણસર લેબર કોલોનીમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકોએ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવમાં યુવકને તબીબે મૃત જાહેર કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો બનાવ અગ્ને તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી કાયદેરસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:10 am

જુગારીઓ રંગે હાથ ઝડપાયા:મોરબીમાં જામ્યો વરલી મટકાનો ખેલ, LCBએ 5 શખ્સને દબોચ્યા

મોરબી ના ઇન્દિરા નગર નજીક ખારોપાટ વિસ્તારની નજીક આવેલા કારખાનાના પાછળના ભાગમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા જગદીશ જોશી, પ્રકાશ વરાણીયા, સુનિલ ધીરુભાઈ સુરેલા મનીષ રાજુભાઈ સુરેલા સંજય અવચર ભાઈ ઝંઝવાડીયા અને મનોજગર ગોસાઈને ઝડપી લીધા હતા ને તેઓ પાસેથી રૂપિયા ૩૨ હજાર રોકડા ના જુગારનું સાહિત્ય જ કરી તમામ વિરુદ્ધ પોલીસ મથકમાં જુગાર અટકાયતી અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી ડિવિઝન પોલીસ મથક હવાલે કર્યા હતા

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:09 am