સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો એક આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસ સ્ટેશનના PSO અને મહિલા વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચિઠોડા પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બલીચા ગામના સંજયભાઈ બંસીલાલ ખરાડીને પ્રોહિબિશનના ગુનામાં પકડ્યો હતો. શનિવારે વહેલી સવારે 6:05 થી 6:15 કલાકના દસ મિનિટના ગાળામાં સંજયભાઈ લોકઅપના દરવાજાની સ્ટોપર ખોલીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં પોલીસ સ્ટેશનના PSO દ્વારા લોકઅપના દરવાજાને લોક ન મારવામાં આવ્યું હોવાનું અને મહિલા વાયરલેસ ઓપરેટરની બેદરકારી સામે આવી હતી. હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ મગનભાઈ હુડલાની ફરિયાદના આધારે, ફરાર આરોપી સંજયભાઈ બંસીલાલ ખરાડી, PSO હેડ કોન્સ્ટેબલ રમણભાઈ જીવાજી બુવળ અને વાયરલેસ ઓપરેટર મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન કાનજીભાઈ ડોડીયાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇડરના DYSP સ્મિત ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી ફરાર થયા બાદ સ્થાનિક પોલીસ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ તેને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નયાગાવ તાલુકાના બલીચા ગામેથી સાંજે ઝડપી લેવામાં આવ્યો હતો. નોંધાયેલી ફરિયાદ સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. ટીમને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે, અહીં દૂધમાં મોટા પાયે ઝેરી કેમિકલ્સની ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે જેના પર્દાફાશ માટે આજે વહેલી સવારે વોચ ગોઠવવામાં આવી હતી. યુવરાજ સિંહે પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયોઆમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે અને અગાઉ પણ તેમણે વરિયા ગામ પાસેથી નકલી દૂધનું ટેન્કર પકડીને આ રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આજે જે ટેન્કર પકડાયું છે તે વિસાવદરના દેડિયા ગામથી દરરોજ સવારે પાંચ વાગ્યે નીકળે છે જેના માલિક દેવાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં ઝડપાયેલા શંકાસ્પદ દૂધના મામલે યુવરાજસિંહની ટીમે પોલીસ સ્ટેશનમાં જ પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો. આ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી તેમની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માગ કરાઈ છે. ભેળસેળની સચોટ માહિતી માટે દૂધને FSLમાં મોકલાયુંયુવરાજસિંહની ટીમે શંકાસ્પદ વાહનને અટકાવ્યા બાદ તાત્કાલિક અસરથી 112 નંબર પર કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આ સાથે જ દૂધના નમૂનામાં કયા પ્રકારની ભેળસેળ છે તેની સચોટ માહિતી મેળવવા માટે FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી જેથી દૂધમાં રહેલા ઘાતક તત્વોની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે. હાલમાં પોલીસ દ્વારા આ ટેન્કરને સી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યું છે અને આગળની તમામ કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. '350થી 400 લિટર શંકાસ્પદ જથ્થો ડેરીઓમાં ઠલવાય છે'આ કૌભાંડની કાર્યપદ્ધતિ અંગે આક્ષેપ કરતા જણાવાયું છે કે, વિસાવદરના દેડિયા ગામની સહકારી ડેરીમાં વાસ્તવમાં ખૂબ ઓછું દૂધ જમા થાય છે, પરંતુ આસપાસના મજૂરો પાસેથી માત્ર ચાર કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલયુક્ત દૂધ ઉમેરી દેવામાં આવે છે. આ રીતે અંદાજે 350થી 400 લિટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે ગુજરાતમાં કેન્સર અને કિડનીના કેસોમાં જે ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તેની પાચે ક્યાંકને ક્યાંક આવા સફેદ દૂધના કાળા કારોબારીઓ જવાબદાર છે જે લોકોના જીવ જોખમમાં મૂકીને નફો કમાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યોઆ સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને FSLના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જો આ નમૂનામાં કેમિકલની હાજરી સાબિત થશે તો દૂધના માલિક દેવાભાઈ ભરવાડ તેમજ જે ડેરીમાં આ દૂધ જતું હતું તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. લોકોમાં પણ એવી માગ ઉઠી રહી છે કે, માત્ર એક ટેન્કર પકડીને સંતોષ માનવાને બદલે આખા નેટવર્કનું મૂળ શોધવામાં આવે જેથી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા આ અક્ષમ્ય અપરાધને રોકી શકાય.
હાલમાં જ્યારે ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટનાં કાલાવડ રોડ પાસેથી નાનામવા રોડ તરફ જતાં પ્લોટમાં TRP ગેમઝોન નજીક અંદાજે રૂ. 4.60 કરોડના ખર્ચે એક વિશાળ અને આધુનિક ફૂડ લેબોરેટરી અને આરોગ્ય સુવિધા ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયાને વધુ ઝડપી, સચોટ અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. આ લેબોરેટરી તૈયાર થતા રાજકોટનાં ફૂડ વિભાગ દ્વારા લેવાતા નમુના વડોદરા મોકલવા નહીં પડે અને અત્યારે બે-ત્રણ મહિને આવતા રિપોર્ટ બે-ત્રણ દિવસમાં મળી જશે. આ સાથે અહીં તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ પણ કરવામાં આવશે. જેને લઈને ઇમરજન્સીમાં લોકોને સારવાર પણ મળી રહેશે. વર્તમાન વ્યવસ્થા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ (સેમ્પલ) ચકાસણી માટે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલવા પડે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થાય છે અને રિપોર્ટ આવવામાં વિલંબ થવાથી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં પણ મુશ્કેલી પડે છે. પરંતુ નવું બિલ્ડિંગ કાર્યરત થયા બાદ રાજકોટમાં જ અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઉપલબ્ધ થશે. જેના પરિણામે દૂધ, ઘી, તેલ કે અન્ય ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળને પકડવા માટેના રિપોર્ટ ગણતરીના દિવસોમાં જ મળી શકશે. આનાથી ભેળસેળિયા તત્વોની સામે ઝડપથી કાર્યવાહી કરી શકાશે. અને નાગરિકોને શુદ્ધ આહાર મળવાની ખાતરી થશે. આ બિલ્ડિંગના આયોજન અને સ્થાપત્યની વાત કરીએ તો, તેને કુલ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા બંનેનો સમન્વય જોવા મળશે. ગ્રાઉન્ડ ફ્લોર: સર્વગ્રાહી આરોગ્ય સેવાઓબિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને કટોકટીની તબીબી સેવાઓ કેન્દ્રિત કરવામાં આવી છે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. ખાસ કરીને માતૃ-બાળ કલ્યાણ માટે B.F. કોર્નર, ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) રૂમ અને RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) રૂમની ફાળવણી કરવામાં આવી છે. પુરુષ અને મહિલાઓ માટે અલગ વોર્ડ તેમજ શૌચાલયની સુવિધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત પેથોલોજી લેબ અને સેમ્પલ લેબ જેવી સુવિધાઓથી નિદાન પ્રક્રિયા વધુ સરળ બનશે. પ્રથમ માળ: આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીબિલ્ડિંગનો પ્રથમ માળ સંપૂર્ણપણે ખાદ્ય સુરક્ષા વિભાગને સમર્પિત રહેશે. અહીં 3 અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવશે. આ લેબમાં હાઈ-ટેક સાધનો માટે ઇન્સ્ટ્રુમેન્ટ રૂમ, ડિસ્ટિલેશન રૂમ, ફ્યુમિંગ રૂમ, બેલેન્સ રૂમ અને કેમિકલ સ્ટોરની સુવિધા હશે. ફૂડ એનાલિસ્ટ માટે અલગ ચેમ્બર અને ડેટા મેનેજમેન્ટ માટે એડમિન વિસ્તારની જોગવાઈ છે. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા માટે એક વિશેષ એક્ઝિબિશન રૂમ અને ટ્રેનિંગ રૂમ પણ બનાવવામાં આવશે, જ્યાં હોટેલ-રેસ્ટોરન્ટના માલિકો અને નાગરિકોને ખાદ્ય સુરક્ષાના ધોરણો અંગે માહિતગાર કરી શકાશે. બીજો માળ: વોટર ટેસ્ટિંગ અને વહીવટી સુવિધાઓબિલ્ડિંગના બીજા માળે પાણીની શુદ્ધતા ચકાસવા માટે 2 ખાસ વોટર ટેસ્ટિંગ રૂમ ફાળવવામાં આવ્યા છે. શહેરમાં વિતરણ થતા પીવાના પાણીની ગુણવત્તા જાળવી રાખવા માટે આ લેબ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. અશુદ્ધ પાણીથી ફેલાતા રોગચાળાને અટકાવવા માટે આધુનિક પદ્ધતિથી અહીં પાણીના નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેકટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ ત્રણેય સુવિધાઓના નિર્માણ માટેનો અંદાજિત ખર્ચ રૂ. 4,59,67,751 (GST સિવાય) નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે 18 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, ચોમાસાના ત્રણ મહિના (1 જુલાઈથી 30 સપ્ટેમ્બર) ને કાર્યકાળમાંથી બાકાત રાખવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ વર્કઓર્ડર આપી કામ શરૂ કરવામાં આવે તો અંદાજે દોઢ-બે વર્ષની અંદર રાજકોટનાં લોકોને આ સુવિધાનો લાભ મળતો થવાની શક્યતા છે. કોન્ટ્રાક્ટરો માટે પાત્રતાના ધોરણો આ કામ માટે માત્ર 'A' ક્લાસમાં નોંધાયેલા અનુભવી કોન્ટ્રાક્ટરો જ અરજી કરી શકશે. કોન્ટ્રાક્ટરોએ છેલ્લા સાત વર્ષમાં આ પ્રકારના કામનો ઓછામાં ઓછો 40 ટકા જેટલો અનુભવ ધરાવવો આવશ્યક છે. આ ઉપરાંત, ટેન્ડર સાથે રૂ. 4,59,678 ની અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) અને રૂ. 7,500 ની ટેન્ડર ફી જમા કરાવવાની રહેશે. કોન્ટ્રાક્ટરે કામના સ્થળે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા સિવિલ એન્જિનિયરની નિમણૂક કરવી પણ ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટમાં ફૂડ લેબોરેટરીની સાથે આરોગ્ય સુવિધા ભવનનું પણ નિર્માણ કરવામાં આવશે. જેમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને ઇમરજન્સી તબીબી સેવાઓ મળી રહેશે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. અને 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. એટલું જ નહીં વિવિધ પ્રકારના રસીકરણ પણ અહીં કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા સાદોલીયા ઓવરબ્રિજ પર શનિવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રતિબંધિત હોવા છતાં પસાર થઈ રહેલા રેતી ભરેલા 3 ડમ્પર અને 1 ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક ચાલકને ફાયર વિભાગે જીવિત બહાર કાઢ્યો હતો. સાદોલીયા ઓવરબ્રિજ પર ભારે વાહનોની અવરજવર રોકવા માટે તંત્ર દ્વારા લોખંડના ગડર (બેરિયર) લગાવવામાં આવ્યા છે. શનિવારે રાત્રે રેતી ભરીને જતું એક ડમ્પર આ લોખંડના ગડર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળ આવી રહેલા અન્ય 2 ડમ્પર અને 1 ટ્રક પણ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. મૃતકોની ઓળખઅકસ્માતમાં ડમ્પરના કેબિનનો કુરચો બોલી ગયો હતો, જેમાં ફસાયેલા ચાલક અને ક્લીનરનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અજીત શના ઠાકોર (25 વર્ષ) – રહે. પીંઢારપુરા, ચાણસ્મા, જિ. પાટણ વિશાલ લક્ષ્મણ ઠાકોર (24 વર્ષ) – રહે. પીંઢારપુરા, ચાણસ્મા, જિ. પાટણ ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશનઘટનાની જાણ થતા જ પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ મુકેશ પરમારના નેતૃત્વમાં સ્થળ પર પહોંચી હતી. અંદાજે 45 મિનિટની જહેમત બાદ ડમ્પરની કેબિન કાપીને બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન પાછળ અથડાયેલી ટ્રકના કેબિનમાં ફસાયેલા ચાલક જીવરામ ગોવિંદને ફાયર ટીમે માત્ર 10 મિનિટમાં સુરક્ષિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ કાર્યવાહીપ્રાંતિજ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
કોંગ્રેસે ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સોમનાથથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. પક્ષના મોવડી મંડળે પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ સોમનાથ મહાદેવના મંદિરે જળાભિષેક અને પાઘ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. આ સાથે જ વેરાવળ શહેરમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસનું મુખ્યાલય પણ ખુલ્લું મુકવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમનાથ મહાદેવના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં મુકુલ વાસનિકે જણાવ્યું કે તેઓ આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનીને મેદાનમાં ઉતરશે. વાસનિકે ઉમેર્યું કે રાજ્યભરમાં કોંગ્રેસના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કાર્યકર્તાઓને સક્રિય બનાવી સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકીય નિરીક્ષકોના મતે, પવિત્ર સોમનાથથી પ્રચારની શરૂઆત કરીને કોંગ્રેસે ધાર્મિક અને રાજકીય બંને સ્તરે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પગલું આવનારી ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો વધારવાનું સૂચવે છે.
બોટાદની તરઘરા શાળામાં યોગ શિબિર યોજાઈ:બાળકોને પરીક્ષાનો ભય દૂર કરવા અપાયું માર્ગદર્શન
બોટાદ તાલુકાની તરઘરા પ્રાથમિક શાળામાં બાળકો માટે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'શ્રી યોગ ફાઉન્ડેશન' દ્વારા આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં શાળાના આશરે 380 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રી યોગ ફાઉન્ડેશનના ડો. અર્જુનભાઈ નિમાવતે બાળકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પરીક્ષાનો ભય દૂર કરવા માટે વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર જેવી પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન અને અભ્યાસ કરાવ્યો હતો. શાળા પરિવારે શ્રી યોગ ફાઉન્ડેશનના પ્રમુખ નયનભાઈ શેઠ અને તેમની ટીમનો આ કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ નિ:શુલ્ક યોગ શિબિરથી બાળકોમાં પરીક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધ્યો હતો અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાઈ હતી. શાળાના આચાર્ય મનુમાસ્તર અને શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લોક અદાલત દરમિયાન અકસ્માત વળતરનો કેસ ઉકેલાયો હતો. જેમાં મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા 1 કરોડના દાવા સામે કોર્ટે 63 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. લાંબા સમયથી પડતર આ કેસમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાતા, પરિવારે આર્થિક ન્યાય મેળવ્યો છે. આણંદ-ભાલેજથી પરત ફરી વખતે અકસ્માત થયો'તોમળતી વિગત અનુસાર, 37 વર્ષીય શાહ-નવાઝ ઉર્ફે આસિફ મોહમદ રફીકમીયા શેખને એક માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમના અવસાનને કારણે થયેલા અપૂરણીય નુકસાન અને દુઃખ માટે યોગ્ય વળતર મેળવવા માટે તેમની કાનૂની વારસદારો પત્ની, ચાર સંતાનો અને માતા દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત 19 જુલાઈ, 2024ના રોજ રાત્રે થયો હતો. શાહ-નવાઝ તેમના મિત્ર તૌફીક વ્હોરા સાથે આણંદ-ભાલેજથી કામ પરથી પરત ફરી રહ્યા હતાં. શાહ-નવાઝ પોતાનું ટુ વ્હિલર સુઝુકી બર્ગમેન ચલાવી રહ્યા હતાં. તેઓ નડિયાદ નજીક દુમરાલ ગામ પાસે પહોંચ્યા ત્યારે સામે પક્ષ દ્વારા ચલાવવામાં આવતી કાર સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મોત થયુંતેમને તરત જ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈનડોર પેશન્ટ તરીકે ઈજાઓને કારણે મોત થયું હતું. આ અકસ્માત અંગે નડિયાદ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ 1 કરોડનો દાવો કર્યોમૃતકના કાનૂની વારસદારો દ્વારા મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ 1 કરોડ રૂપિયાના વળતર માટે જિલ્લા અને સત્ર ન્યાયાલય, અમદાવાદ ગ્રામ્ય ખાતે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા, તમામ પક્ષકારો, વીમા કંપનીના પ્રતિનિધિઓનો સક્રિય સહકાર મળતા 14 માર્ચ, 2026ના રોજ લોક અદાલત દરમિયાન આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન દ્વારા નિવારવામાં આવ્યો હતો. કોર્ટે દાવો ફેંસલ કરીને 63 લાખ ચૂકવવા આદેશ કર્યોપારસ્પરિક ચર્ચા અને વિચારવિમર્શ બાદ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મૃતકના કાનૂની વારસદારોને 63 લાખની રકમ ચૂકવવા સંમતિ અપાતા, અધિક જિલ્લા ન્યાયાધીશ એન.પી. ઉનડકટની કોર્ટમાં આ દાવો ફેંસલ કરવામાં આવ્યો. આ રકમ નક્કી કરતી વખતે મૃતકની ઉંમર, 40 હજાર રૂપિયાની માસિક આવક, પરિવારની નિર્ભરતા અને તેમના ભવિષ્યના સંભવિત આવક જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ચરસની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 801 ગ્રામ ચરસ સહિત કુલ ₹2,10,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સ બસને રોકવામાં આવી હતી. બસમાં બેઠેલા એક યુવક પર શંકા જતાં તેની બેગની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન યુવકની બેગમાંથી 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. ઝડપાયેલા આરોપીનું નામ જય ચેતન ગાલા (ઉંમર 29) છે, જે મુંબઈના ગોરેગામનો રહેવાસી અને મૂળ કચ્છના મુન્દ્રાનો છે. અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 20(બી)(ii)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની વાદળી રંગની ટ્રાવેલિંગ બેગમાંથી કપડાં અને જેકેટની આડશમાં છુપાવેલું 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. આ ચરસની બજાર કિંમત ₹2,00,250 આંકવામાં આવી છે. ચરસ ઉપરાંત, એક એન્ડ્રોઇડ મોબાઈલ પણ જપ્ત કરાયો છે, જે સાથે કુલ ₹2,10,250 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કારચાલકે એક બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રોડ પર સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ કારચાલકે યુવકને ટક્કર મારતા યુવક બાઈક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ હૃદયદ્રાવક અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે. સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ કાર હંકારી બાઈક સવારને ટક્કર મારીવડોદરા શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં 12 માર્ચના રોજ સાંજે 7 વાગ્યે એક બાઈક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેને પગલે બાઈકચાલક બાઈક પરથી નીચે પટકાયો હતો. જેને કારણે તે ઇજાગ્રસ્ત થયો હતો અને રોડ પર જ કણસવા લાગ્યો હતો. યુવક નીચે પટકાયો હતો, પરંતુ બાઈક દોડતી દોડતી દૂર જઈને પડી હતી. કારચાલક ઉભો રહી મદદ કરવાની જગ્યાએ કાર લઈ નાસી છૂટ્યોસ્પીડ બ્રેકર હોવા છતાં કારચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું સ્ટીયરિંગ ફેરવી કાર વળાવીને ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. જે બાદ અકસ્માત સર્જાવાને પગલે ત્યાં આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જે બાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીવડોદરાના છાણી રોડ પર બનેલી અકસ્માતની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે, તેમ છતાં વાહનચાલકો પૂરપાટ ઝડપે વાહન ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકે છે. સાથે સાથે લોકો પણ આ પ્રકારે બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ પણ વાંચો: અમદાવાદમાં વૃદ્ધને બોનેટ પર બેસાડી 500 મીટર સુધી કાર દોડાવી, વૃદ્ધ કહેતા રહ્યા- 'કેસ નથી કરવો, કેસ નથી કરવો' અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ બન્યો હતો. અકસ્માત સર્જનારા કારચાલક જાદવ હરિસિંહ સુરસંગને સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કારચાલકે કાર ભગાડી મૂક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વીડિયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે, 'હજી કહું છું કેસ નથી કરવો' તેમ છતા જાદવ હરિસિંહ સુરસંગે પોતાની કાર ઉભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી રહ્યો હતો. આ મામલે રાતે પોલીસ સ્ટેશનમાં ભયજનક ડ્રાઇવિંગની કલમ બીએનએસ (BNS) 281 મુજબ અને એમવી એક્ટ (MV Act) 184, 177, 134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને આરોપી ડ્રાઈવર જાદવ હરિસિંહ સુરસંગની અટકાયત કરવામાં આવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કારચાલક દ્વારા ત્રણથી ચાર વાહનને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો છે. ચાલક ત્રણથી ચાર વાહનને ટક્કર મારીને એલિસબ્રિજ તરફ ભાગ્યો હતો, જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ ત્રણથી ચાર વાહનને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. એલિસબ્રિજ પાસે ચાર રસ્તા નજીક કારચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તરત જ ટ્રાફિકના TRB જવાનો આવી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનો દ્વારા આરોપીને પકડી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવા અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી હતી. મધ્ય પૂર્વની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે LPG સિલિન્ડરના વિતરણને સુવ્યવસ્થિત રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ નિર્દેશ હેઠળ પુરવઠા વિભાગે આ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, અધિકારીઓએ હોટલ સંચાલકોને કડક સૂચના આપી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી, નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવો. જો કોઈ હોટલમાં રાંધણ ગેસના વપરાશમાં અનિયમિતતા જણાશે અથવા ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો પકડાશે, તો તેમની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955' અને 'LPG કંટ્રોલ ઓર્ડર-2000' હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ સુંદરગઢ અને નવા ગામ પાસે તસ્કરોએ બે ગલ્લા અને બે દુકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સરસામાન અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે વહેલી સવારના સમયે સુંદરગઢ પાટિયા પાસે ગાયત્રી આશ્રમ નજીક બાબુભાઈ વાલાભાઈ મકવાણાના પાન મસાલાના ગલ્લાને તોડી તસ્કરો પાન મસાલાનો સામાન અને રોકડ ચોરી ગયા હતા. નવા ગામ પાસે રોડ પર આવેલ પૂર્વ સરપંચ ચંદનસિંહના લક્ષ્મી પાન પાર્લરના ગલ્લામાંથી પણ સરસામાન અને રોકડની ચોરી થઈ હતી. ત્યારબાદ, લક્ષ્મી પાન પાર્લરની સામે આવેલ એક કોમ્પ્લેક્સમાં જયદેવ કિરાણા સ્ટોર્સ અને તેની બાજુમાં આવેલ બિલેશ્વર એગ્રો ટ્રેડર્સ (ખેતીની દવાની દુકાન)ના શટર તોડીને પણ ચોરી કરવામાં આવી હતી. જયદેવ કિરાણા સ્ટોર્સના માલિક સુનીલભાઈ મોતીલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તસ્કરો શટર તોડીને અંદરથી કરિયાણાનો સામાન જેમ કે તેલ, ખાંડ, ઘી, ડ્રાયફ્રુટના પેકેટ સહિતનો સામાન અને આશરે ₹20 રોકડ ચોરી ગયા હતા. નવા ગામ પાસે રોડ પર આવેલ રાઘવ દાલબાટીના સીસીટીવી કેમેરામાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ એક એસેન્ટ કાર અને એક બાઈક પસાર થતું જોવા મળ્યું હતું. એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શનિવારે 37C સુધી પહોંચેલો પારો રવિવારે 4 ડિગ્રી ઘટીને 34C પર સ્થિર થયો હતો. જોકે, તાપમાન ઘટવા છતાં હવામાં ઊંચા ભેજને કારણે નાગરિકો બફારો અને મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ નોંધાયું હતું, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનને કારણે તાપમાન નીચું રહ્યું હતું. ધરમપુરમાં મહત્તમ 35C અને લઘુત્તમ 22C તાપમાન નોંધાયું હતું. વાપીમાં 34C મહત્તમ અને 25C લઘુત્તમ તાપમાન સાથે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહ્યું હતું. વલસાડમાં 33C, કપરાડામાં 34C અને ઉમરગામમાં 32C મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક અને સાવચેતીહવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં બપોરના સમયે આકાશ સ્વચ્છ રહેશે. જોકે, UV ઇન્ડેક્સ 9 (ખૂબ ઊંચું) હોવાથી બપોરે 12 થી 4 દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં રહેવું ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 24C આસપાસ રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેતા બફારો વધી શકે છે. પશ્ચિમ દિશા તરફથી 4 mphની ગતિએ ફૂંકાતા પવનો ગરમીથી આંશિક રાહત આપશે. નિષ્ણાતોના મતે, ગરમી અને ડિહાઈડ્રેશનથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ શરબત કે નાળિયેર પાણી લેવું હિતાવહ છે. આગામી 2-3 દિવસમાં પારો ફરી 1 થી 2 ડિગ્રી ઉંચકાય તેવી શક્યતા છે. આગામી અઠવાડિયાનું અનુમાનસમગ્ર અઠવાડિયા દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 29C થી 31C વચ્ચે રહેશે. વીકેન્ડમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ 43% થી 69% અને પવનની ગતિ 9થી 11 mph રહેવાની સંભાવના છે.સોમવારથી રવિવાર સુધીનું પૂર્વાનુમાન
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શાકભાજીના ઓછા ભાવે વેચાણના મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝપાઝપી દરમિયાન એક યુવકને ચાકુથી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શાકભાજી ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતીગત સાંજે શહેરના મકરપુરા GIDC પાસે ભૂમિ ચોકડી ખાતે એક ઘટના બની હતી. મહેન્દ્રનગરમાં રહેતા મુકીમ અનિશભાઈ પઠાણ (ઉંમર 32) શાકભાજીની ફેરી માટે ટેમ્પો લઈને નીકળ્યા હતા. ટેમ્પો બંધ પડતા તેમણે રોડની બાજુમાં શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નજીક જ પથારો લગાવીને શાકભાજી વેચતા ઇમરાન તસીરખાન પઠાણ (ઉંમર 26) ત્યાં આવ્યા અને ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. કમર, ગળા અને ડાબી આંખ પાસે ચાકુના ઘા માર્યાત્યારબાદ ઇમરાનના ભાઈ મોહમ્મદ સાબાન ખાન પણ સામેલ થયો હતો. બાદમાં સામાન્ય બોલાચાલી બાદ વાત ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. ઝપાઝપી દરમિયાન ઇમરાનના ભાણેજ શાહિદે ચાકુ કાઢીને મુકીમને કમર, ગળા અને ડાબી આંખ પાસે ઘા કર્યા હતા. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મુકીમે પોતાના ભાઈ સુફિયાનને ફોન કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા મુકીમને એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. મુકીમે ઇમરાન તસીરખાન, મોહમ્મદ સાબાન ખાન તેમજ શાહિદ સામે મારામારી અને હુમલાની ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે કોલર પકડીને ગાળાગાળી અને મારામારીની ફરિયાદ કરીબીજી તરફ ઇમરાન તસીરખાને પણ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર મુકીમ તેમની બાજુમાં ટેમ્પો રાખીને ઓછા ભાવે શાકભાજી વેચવા લાગ્યા હતા. તેમને ટેમ્પો સાઈડમાં રાખવા જણાવ્યું હતું, પરંતુ મુકીમે તેમ ન કર્યું કરતા બબાલ થઈ હતી. ત્યારબાદ મુકીમે કોલર પકડીને ગાળાગાળી કરી અને મારામારી શરૂ કરી દીધી હતી. ઝપાઝપીમાં ઇમરાન, મોહમ્મદ સાબાન અને સાહિબે આલમને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેઓ પણ 108 એમ્બ્યુલન્સ દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. આ ઘટના અંગે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે ચારેય વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે. ત્યારે ગત સાંજે સર્જાયેલ આ મારામારીમાં પણ ઘાતક હથિયાર ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો યુવકને છાતીના કે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોત તો કદાચ જીવલેણ સાબિત થઈ હોત. ત્યારે પોલીસે કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને ફરી નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
મહેસાણા જિલ્લાના ગોઝારિયા વિસ્તારમાં આવેલી નવી જીઆઈડીસીમાં ગત મોડી રાત્રે આગની એક મોટી ઘટના સામે આવી હતી.ગોઝારિયાના નિર્મલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન નામની લાકડાની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લાકડાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠીમોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ કંપનીમાં રહેલા લાકડાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ મહેસાણા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 10 હજાર લિટર પાણીનો મારો ને 5 કલાકની મહામહેનતે આગ કાબુમા આવીફાયર વિભાગની ટીમે સતત 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આશરે 10 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આખરે સવારે 7 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણપણે બુઝાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જેના કારણે તંત્ર અને કંપની માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગને કારણે લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા આર્થિક નુકસાન થવા પામ્યું છે.
પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાં ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. LCBએ લકઝરી ગાડીઓ લઈને જુગાર રમવા આવેલા 21 જુગારીઓને 2 લાખની રોકડ સહિત 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સપાટો બોલાવી છે. જોકે આ દરોડામાં મુખ્ય સૂત્રધાર નાસી છૂટવામાં સફળ રહ્યો છે. LCBએ ચારેય દિશા કોર્ડન કરી 21 જુગારીઓને ઝડપી પાડ્યાગાંધીનગર LCBને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ફતેપુરાથી દિપેશ્વરી મંદિર તરફ જવાના માર્ગે ડાબી બાજુએ આવેલા એક ખુલ્લા ખેતરમાં ગુડ્ડુ ભદોરિયા નામનો શખ્સ બહારથી જુગારીઓને બોલાવી મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યો છતાં સ્થાનિક પોલીસ ઉંઘતી રહે છે. જેના પગલે LCBની ટીમો જુગારધામ પર ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે અગાઉથી ચારેય દિશા કાર્ડન કરી 21 જુગારીઓને આબાદ રીતે ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓજુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ મુન્નેશ બુધ્ધસિંહ પ્રજાપતિ (કુબેરનગર, અમદાવાદ), નરેન્દ્ર પહેલવાનસિંગ પ્રજાપતિ (રામોલ, અમદાવાદ), રામપ્રસાદ રામજીલાલ પ્રજાપતિ (નારોલ, અમદાવાદ), રણજીત જગતસિંહ યાદવ (પેથાપુર, ગાંધીનગર), સંદિપ મુકેશભાઈ રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા (નવા વાડજ, અમદાવાદ), દિનેશ અત્તરસિંગ કુશવાહ (ચાંદલોડીયા, અમદાવાદ), રાજેન્દ્ર લક્ષ્મણસિંગ યાદવ (પીંપળજ, અમદાવાદ), પ્રેમસિંગ ગંભીરસિંગ રાઠોર (ચાંદલોડીયા, અમદાવાદ), રાહુલસિંગ અનારસિંગ પરીહાર ઠાકુર (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્યોના નામ સોનુંસિંગ રામબિહારી જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ,), મુકેશભાઈ કનુભાઇ ભરવાડ (નારોલ, અમદાવાદ), સુનિલકુમાર પ્રેમનારાયણ કહાર (મેઘાણીનગર, અમદાવાદ), ધીરેન અમરસિંહ રાઠોડ (ચાંદલોડીયા, અમદાવાદ), જીતુ સુરેન્દ્રસિંહ રાજપુત (મેઘાણીનગર, અમદાવાદ,), બબલુ રામસેવક રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), વિક્કી કલ્યાણસિંગ કુશવાહા (ન્યુ રાણીપ, અમદાવાદ), અરવિંદ જગદીશ પાંડે (ચાંદલોડીયા), જીતેન્દ્રસિંહ મંગલસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ), માનસિંઘ રામવંશ કુશવાહ (ચાણક્યપુરી, અમદાવાદ,) અને ધર્મેન્દ્ર અમરસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. 2.04 લાખ રોકડા સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યોઆ અંગે PI ડી બી વાળાએ કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ગુડુ ભદોરીયાએ આ તમામ લોકોને જુગાર રમવા માટે ખેતરમાં વ્યવસ્થા કરી આપી હતી. તે બદલ 5,000 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. આ જુગારીઓ મોટાભાગે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ વતની છે. જુગારીઓ પાસેથી 2.04 લાખ રોકડા, રૂ.1.25 લાખના 21 મોબાઇલ ફોન તેમજ વાહનો મળીને કુલ રૂ.21.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતાં. જોકે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાયોરાજ્યમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં તાપમાન 36થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં તાપમાન ધીમે ધીમે વધતું જાય છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ યથાવત રહી શકે છે. ભેજનું પ્રમાણ વધવાથી ગરમીમાં રાહત મળશેહવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને પવનની દિશામાં ફેરફાર થશે. જેના પરિણામે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીમાંથી નાગરિકોને રાહત મળશે. 18થી 20 માર્ચ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તેમજ માર્ચ મહિનામાં જ પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટો આવતા નાગરિકો માટે ગરમીમાંથી થોડી રાહત મળશે. ત્યાં ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે. અનેક વિસ્તારોમાં ઘઉં, જીરૂં, ચણા સહિતના પાકને કમોસમી વરસાદ થાય તો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અંતર્ગત, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન નવસારીના પૌરાણિક ઉનાઈ માતાજીના મંદિરે દર્શન અને આરતી કરી હતી. તેમણે આગામી ચૂંટણીઓમાં પક્ષના વિજય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે આદિજાતિ મંત્રી અને સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસે છે. તેમણે બે દિવસ અગાઉ વલસાડ અને ત્યારબાદ ડાંગ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. ડાંગમાં વિધાનસભાના બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યા બાદ, તેઓ મોડી સાંજે નવસારી જિલ્લામાં પહોંચ્યા હતા. નવસારીમાં તેમણે રામાયણ કાળ સાથે સંકળાયેલા ઐતિહાસિક ઉનાઈ માતાજીના મંદિરે માં ઉષ્ણ અંબાની આરતી કરી આગામી ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે આશીર્વાદ માંગ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ આદિવાસી પટ્ટામાં ભાજપનો ગઢ મજબૂત કરવાના નિર્ધાર સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. મંદિરે દર્શન કર્યા બાદ જગદીશ વિશ્વકર્માએ મંદિર નજીક આવેલી સ્થાનિક ચાની દુકાને કાર્યકર્તાઓ સાથે બેસીને ચા પીધી હતી. આ દરમિયાન તેમણે કાર્યકરો સાથે સ્થાનિક પ્રશ્નો અને આગામી ચૂંટણી રણનીતિ અંગે અનૌપચારિક ચર્ચા કરી હતી. પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓ સાથે સેલ્ફી અને ફોટા પણ પડાવ્યા હતા, જેનાથી સ્થાનિક કેડરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
યુવતી ભગાડવા મામલે પરિવાર પર હુમલો:વડાવલીમાં ઘરમાં તોડફોડ, બાળકને ઈજા, વાહન-ઘરવખરીને નુકસાન
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે યુવતીને ભગાડી જવાના મામલે એક પરિવાર પર હુમલો થયો હતો. સાત જેટલા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેમાં ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડી દેવાયું હતું. આ હુમલામાં પરિવારના સભ્યોને ઈજા થઈ હતી અને ઘરવખરી તેમજ વાહનને નુકસાન થયું હતું. આ ઘટનાની વિગત એવી છે કે, વડાવલી ગામના જયંતીભાઈ મુળચંદદાસ પટેલનો પુત્ર નૈનેશ ચવેલી ગામની એક યુવતીને ભગાડી ગયો હતો. આ બાબતે વાતચીત કરવાના બહાને ચવેલી ગામના ચાર અને વડાવલી ગામના ત્રણ એમ કુલ સાત વ્યક્તિઓ જયંતીભાઈના ઘરે આવ્યા હતા. જયંતીભાઈ અને તેમના પરિવારજનો ઘરે હાજર હતા ત્યારે હુમલાખોરોએ યુવતીના ભાગી જવા અંગે કોઈ વાતચીત કરી ન હતી. તેના બદલે, તેઓએ જયંતીભાઈ, તેમની પત્ની, પુત્ર નિલેશ, કાકા દિનેશ પટેલ અને તેમના પુત્ર મીત દિનેશ પટેલને સ્ટીલની પાઈપો અને હિંચકાની સાંકળ વડે આડેધડ માર માર્યો હતો, જેના કારણે સૌને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ જયંતીભાઈ પટેલના ઘરમાં વોશિંગ મશીન, બારીના કાચ, બહાર પડેલી ઈકો ગાડી અને ઘરમાં રહેલા ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડીને ઘોડિયું તોડી નાખ્યું હતું. આ ઝપાઝપી દરમિયાન નિલેશ પટેલનો સોનાનો દોરો અને તેમની પત્નીનું મંગળસૂત્ર તૂટી ગયું હતું, જે બાદમાં મળ્યું ન હતું. ઘટના બાદ 112 નંબર પર જાણ કરવામાં આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાણસ્માની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે નિલેશ પટેલની ફરિયાદના આધારે અમરત પટેલ, સાહિલ અમરત પટેલ, તીર્થ પટેલ, ધાર્મિક પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) અને બકાભાઈ પટેલ, સાવન પટેલ, આનંદ પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ SOGએ કોઈપણ જાતની મેડિકલની ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. બેડલા ગામમાં 45 વર્ષીય ભાવેશ જોશી નામનો યુવાન ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે ગ્રાહક બની રેડ પડી હતી અને તેને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન કબજે કર્યા છે. બોગસ ડોક્ટર છેલ્લા 6 મહિનાથી તબીબી પ્રેક્ટિસ કરી લોકોને આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જેને પોતે કોલેજ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં દવાખાનું ખોલી નાખ્યું હતું. ડિગ્રી ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યુંSOG પોલીસને 14 માર્ચના બેડલા ગામે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ ત્યાં પહોંચી તો બેડલા ગામના રામજી મંદિર પાસે દવાખાનું હતું. જે તબીબ ભાવેશ જોશીનું હોવાનું જણાયું હતું. જેથી તેની પાસેથી મેડિકલ ડિગ્રી માંગવામાં આવી હતી. જો કે, મેડિકલની કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસની વધુ પૂછપરછમાં તે રાજકોટના મવડી મેઇન રોડ ઉપર રહેતો હોવાનું અને અહીં મેડિકલ ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું તેણે સ્વીકાર્યું હતું. પોલીસે તેની પાસેથી હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન વગેરે તથા રોકડા રૂ.4500 મળી કુલ કિંમત રૂ.50,199નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની વિરુદ્ધ ગૂનો દાખલ કરી ધરપકડ કરી હતી.
પાટણ લોક અદાલતમાં ₹11.90 કરોડના સેટલમેન્ટ એવોર્ડ:38,180 કેસોમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ થયો
પાટણ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ 38,180 કેસો રજૂ કરાયા હતા. તેમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. 'ન્યાય સર્વના માટે'ના સૂત્રને સાર્થક કરવાના હેતુથી સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી દ્વારા દેશભરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તેની તાબાની તમામ તાલુકા કોર્ટોમાં આ અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના કેસો, વાહન અકસ્માત, મજૂર તકરાર, લગ્નજીવન તકરાર કે પરિવાર સંબંધિત કેસો, બેંકના દાવાઓ, જમીન વળતર અને અન્ય દીવાની કેસો સહિત તમામ પ્રકારના સમાધાનને લાયક કેસોનો સમાવેશ કરાયો હતો. પ્રિ-લિટીગેશન કેસોનો પણ સુખદ નિકાલ થાય તે હેતુથી તેમને લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાની લોક અદાલતમાં કુલ 33,024 પ્રિ-લિટીગેશન કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 7,181 કેસોનો નિકાલ થયો અને ₹98,64,559નું સેટલમેન્ટ થયું. રેગ્યુલર લોક અદાલતમાં 1,659 કેસોમાંથી 634 કેસોમાં સુખદ સમાધાન થયું, જેમાં ₹10,91,97,339ના એવોર્ડ અપાયા. આ ઉપરાંત, 3,497 ક્રિમિનલ કેસો સ્પેશિયલ સિટિંગમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 3,186 કેસોનો નિકાલ થયો. આમ, પાટણ જિલ્લામાં કુલ 38,180 કેસોમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ થયો અને કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ માહિતી પાટણ જિલ્લા સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.એ. નાગોરીએ આપી હતી. આ લોક અદાલતોની પાટણ જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોએ મુલાકાત લીધી હતી.
જામનગર જિલ્લામાં માનવ જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામના રામદૂતનગરમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બે પશ્ચિમ બંગાળી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. SOG પી.આઈ. બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને લાલજીભાઈ રાતડીયા નામના બાતમીદારો દ્વારા ચોક્કસ વિગત મળી હતી કે મેઘપરના મુખ્ય બજાર વિસ્તારમાં કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર બે શખ્સો દવાખાનું ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે SOG ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રોવાસ વિશ્વાસ નામના શખ્સ પાસેથી દવાઓ, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી કુલ રૂ. 2511 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે મીલટન રતનભાઈ બિશ્વાસ પાસેથી દવાઓ અને ઈન્જેક્શન સહિત કુલ રૂ. 2538 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ બંને શખ્સો લાયકાત વગર દર્દીઓને તપાસતા, ઈન્જેક્શન આપતા અને બાટલા ચડાવીને ગેરકાયદેસર રીતે પૈસા વસૂલતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રોવાસ નિત્યાનંદા વિશ્વાસ (રહે. રામદૂતનગર, મેઘપર; મૂળ પશ્ચિમ બંગાળ) અને મીલટન રતનભાઈ બિશ્વાસ (રહે. રામદૂતનગર, મેઘપર; મૂળ પશ્ચિમ બંગાળ) ની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 ની કલમ 30 તથા B.N.S. કલમ 125 મુજબ એ.એસ.આઈ. અશોકભાઈ સિંહલાએ ગુનો દાખલ કરાવ્યો છે. આ કામગીરીમાં SOG ના PI બી.એન. ચૌધરી, PSI એલ.એમ. ઝેર, PSI એ.વી. ખેર અને સમગ્ર સ્ટાફ જોડાયેલ હતો.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં મોડી રાત્રે બનાવટી દૂધ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ખાંભા પોલીસ અને ફૂડ સેફટી વિભાગે બે અલગ-અલગ રહેણાંક મકાનોમાં દરોડા પાડી બનાવટી દૂધનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં રાણાભાઈ જેસાભાઈ સુસરા અને રાજુભાઈ જસાભાઈ આલના રહેણાંક મકાનોમાંથી શંકાસ્પદ 220 લીટર બનાવટી દૂધ, 214 કિલો પાવડર અને 43.4 કિલો વનસ્પતિ તેલ મળી આવ્યું હતું. કુલ 78,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ સેફટી વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લઈને તપાસ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવતા બનાવટી દૂધના જથ્થાનો રાત્રે જ નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. આ કામગીરી ખાંભા પીઆઈ કરણરાજસિંહ ચુડાસમા અને ફૂડ ઓફિસર કિશોર કળસરીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખાંભા પંથકના ગામડાઓમાં બનાવટી દૂધ બનાવવાનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. અગાઉ પણ અહીંની ડેરીઓમાં અનેક વખત બનાવટી દૂધ ઝડપાયું છે અને પોલીસે ભૂતકાળમાં પણ દરોડા પાડ્યા છે. ફરીવાર આ નકલી દૂધ પર અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો ફૂડ વિભાગ દ્વારા ગામડાઓમાં દૂધના વેપારની વ્યાપક તપાસ કરવામાં આવે તો મોટો પર્દાફાશ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે જિલ્લાની કેટલીક જાણીતી ડેરીઓ પણ શંકાના ઘેરામાં આવી શકે છે.
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિર નજીક ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને ધંધો કરવા દેવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધીમાં વેરિફિકેશન અને સર્ટિફિકેટ તપાસ કરીને નીતિ નિયમ મુજબ બેસવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ AMC દ્વારા વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરાતાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ પોતે ગમે તેમ બેસીને જાતે ધંધો શરૂ કરી દીધો છે. ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનારા લોકો અને હેરિટેજ વિસ્તારને જાળવવા માટે ભાજપના એસ્ટેટ અને લીગલ વિભાગના ચેરમેન દ્વારા ચૂંટણી નજીક આવતાની સાથે જ ભદ્ર પરિસર મુદ્દે ઢીલુ મૂકી દેવાતાં છેવટે ભદ્ર પરિસર ધમધમતું થયું છે. હાઇકોર્ટના આદેશ બાદ પણ AMCએ કમિટીની રચના કરી નહીંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે નિયમ મુજબ તપાસ કરવામાં આવી નહીં અને જે પણ ફેરિયાઓ બેસી ગયા તેમને બેસવા દેવામાં આવ્યા હતાં. જગ્યા ફાળવી અને વ્યવસ્થિત રીતે બેસવા દેવા દેવાની સૂચના છતાં પણ ગમે તે જગ્યા ઉપર બેસી ગયા હતાં. હાઇકોર્ટના આદેશ બાદ તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની કમિટીની રચના કરી નહીં અને ભદ્ર બજાર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. જોકે હવે આ વિસ્તારમાં ભદ્રકાળી મંદિરે દર્શન કરવા આવનારા અને વાહનો લઈને પસાર થનારા લોકોને ચોક્કસથી તકલીફ પડી શકે છે. 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થયુંલાલ દરવાજાના ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો સર્વે કર્યા વિના તેમના હટાવવા બાબતે લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરીથી 586 ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવા માટે આદેશ કર્યો છે. ત્યારે 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. સર્ટિફિકેટની ચકાસણી પહેલાં જ ફેરિયાઓએ ધંધો શરૂ કર્યો હાઈકોર્ટના આદેશને અનુસરીને AMC દ્વારા ત્રણ અધિકારી અને એક સિનિયર પોલીસ અધિકારી દ્વારા ફેરિયાઓને આપેલાં સર્ટિફિકેટની ચકાસણી કરીને ભદ્ર પરિસરમાં બેસવા દેવા માટેની પ્રક્રિયા પૂરી કરવા જણાવવામાં આવ્યું છે. જોકે, આ પ્રકારે સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે તે પહેલાં જ ફેરિયાઓએ ભદ્ર વિસ્તારમાં પાથરણાં પાથરીને ધંધો કરવાનું શરૂ કરી દેવાને કારણે ભારે ભીડ જોવા મળી હતી. ગેરકાયદે બેસતાં ફેરિયાઓ પર એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી નહીં!એક પણ ફેરિયાઓની પાસે કયા સંસ્થાના ફેરિયાઓ છે અને વ્યવસ્થિત રીતે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેમ એક જ લાઈનમાં અને પટ્ટા દોરી અને સરખી રીતે બેસવાનું હોવા છતાં પણ ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ બેસી ગયા હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે ધ્યાન આપ્યું નથી. ગેરકાયદેસર રીતે બેસતા ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો અને કબજો જમાવનારા લોકો સામે કાર્યવાહીની સૂચના છતાં પણ કોર્પોરેશનને કોઈ કાર્યવાહી કરી નહીં. ફરી ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતાસૂત્રોના જણાવ્યાનુસાર, હાઈકોર્ટના આદેશને પગલે ઘણાં સમય પછી ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવામાં આવશે. પરંતુ AMC રેકર્ડ પર નોંધાયેલા ફેરિયા- પાથરણાંવાળાઓની સરખામણીએ મોટી સંખ્યામાં પાથરણાંવાળાઓનો રાફડો ફાટી નીકળે તેવી શક્યતા છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતા છે. વધુમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા AMC દ્વારા ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાવાળાને દૂર કરવા માટે દબાણની ગાડીઓ અને સ્ટાફને ખડે પગે રાખવા અને મશીનરીને કામે લગાડવાની કામગીરી કરાઈ હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષોથી પેન્ડિંગ રહેલા કેસોમાં સફળતા મેળવનારા લીગલ કમિટી અને એસ્ટેટ વિભાગના બંને ચેરમેનો ભદ્ર પરિસરના મુદ્દે નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
વેરાવળ શહેરના બંદર રોડ પર સ્ટ્રીટ લાઈટ અને યોગ્ય સફાઈ વ્યવસ્થાના અભાવે હાલ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર માછલીના પાણી અને કચરાના કારણે ચીકાશ વધતા ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર સ્થિતિ અંગે સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ વેરાવળ બંદર અધિકારીને લેખિત રજુઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજુઆતમાં જણાવાયું છે કે વેરાવળ શહેરથી સોમનાથ, કોડીનાર અને ઊના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મરામત હેઠળ હોવાથી હાલ નાના-મોટા તમામ વાહનોને વેરાવળ બંદર રોડ પરથી જ પસાર થવું પડે છે. પરિણામે આ રસ્તા પર વાહનવ્યવહાર ખૂબ વધી ગયો છે અને દિવસભર ભારે ટ્રાફિક રહે છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં માછલી ભરેલા વાહનો પસાર થાય છે. ઘણા વાહનોમાંથી માછલીનું પાણી અને કચરો રોડ પર પડી રહે છે, જેના કારણે રસ્તો ખૂબ જ ચીકણો બની જાય છે. પરિણામે ઘણી વખત બે-ચક્રી વાહનો સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે અને અકસ્માતની શક્યતા વધી રહી છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ મુસાફરો માટે ગંભીર જોખમ ઉભું થયું છે. આ ઉપરાંત બંદર રોડ પર રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે અંધારું છવાઈ જાય છે. અંધારાના કારણે વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાતો નથી, જેના કારણે અકસ્માત થવાની ભીતિ વધુ વધી જાય છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે બંદર વિસ્તારમાંથી દરરોજ જવલા (માછલી) ભરેલી ખુલ્લી રીક્ષાઓ પસાર થાય છે. આ રીક્ષાઓમાંથી પડતા માછલીના પાણીના કારણે રસ્તો વધુ ચીકણો બની જાય છે અને રોજબરોજ બે-ત્રણ બાઈક સ્લીપ થવાના બનાવો બનતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સાથે સાથે સરકારે જવલા માછલી મારવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ તેનો વેપાર ચાલુ હોવાની શંકા વ્યક્ત કરી તેની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ જનહિતને ધ્યાનમાં રાખીને બંદર રોડ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવા, રોડ પર પડતા માછલીના કચરાની નિયમિત સફાઈ માટે વ્યવસ્થા ગોઠવવા તેમજ વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી જરૂરી ટ્રાફિક સલામતીના પગલાં લેવા બંદર તંત્રને માંગ કરી છે.
ઈરાનનો એક પ્લાન અમેરિકાની બાદશાહત ખતમ કરશે! સ્ટ્રેટ ઓફ હોર્મૂઝની સમસ્યા ઉકેલાઈ જશે
Iran conditions oil tanker passage on Chinese Yuan : મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને એક નવો અને ચોંકાવનારો પ્રસ્તાવ મૂક્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી ઓઈલ ટેન્કરો પસાર થવા દેવા માટે ઈરાને એક કડક શરત રાખી છે, જે વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફાર લાવી શકે છે. ઈરાનનો 'યુઆન' પ્લાન સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી મર્યાદિત સંખ્યામાં ઓઈલ ટેન્કરોને પસાર થવા દેવા પર વિચાર કરી રહ્યું છે, પરંતુ તેની શરત એ છે કે તેલનો વેપાર ચીની યુઆન (Yuan) માં થવો જોઈએ. સામાન્ય રીતે વૈશ્વિક તેલનો વેપાર અમેરિકન ડોલરમાં થાય છે, પરંતુ ઈરાન હવે ડોલરના વર્ચસ્વને પડકારીને ચીની કરન્સીને પ્રોત્સાહન આપી રહ્યું છે.
ઝાયડસ હોસ્પિટલમાં ૧૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનિયર સિટીઝન નીલગીરી સોલા ગ્રુપ માટે એક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૬૮ સભ્યોએ નોંધણી કરાવી હતી અને ભાગ લીધો હતો. નિષ્ણાત ડોકટરો દ્વારા 'હેલ્થ ટોક' યોજવામાં આવી હતી, જેમાં સભ્યોના પ્રશ્નોના ઉત્તર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યત્વે પેટના રોગ, હૃદય રોગ અને પ્રોસ્ટેટ કેન્સર જેવા વિષયો પર વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડો. ધૈવત વૈષ્ણવ, ડો. કેતન વેકરિયા અને ડો. રાજ પટેલ જેવા નિષ્ણાત ડોકટરોએ ઉપસ્થિત સભ્યોને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન નીલગીરી ગ્રુપના પ્રેસિડેન્ટ દશરથભાઈ અને રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર હેતલબેન ચોકસીનું પણ અતિથિ વિશેષ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે હેલ્થ ટોકમાં ભાગ લીધો હતો.
વેરાવળમાં PC-PNDT એક્ટ પર વર્કશોપ યોજાયો:માતા મરણ અને જાતિ પરીક્ષણ રોકવા કાયદાની સમજ અપાઈ
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળના આસોપાલવ લૉન્સ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત એક ઓરિયેન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રૉયે 'માતા મરણ' અને કાયદાની અગત્યતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે આજના ટેક્નોલોજીના યુગમાં ફાયદાઓ સાથે કેટલાક દુષ્પરિણામો પણ જોવા મળે છે, ત્યારે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનું અમલીકરણ ગીર સોમનાથ જિલ્લામાં સહિયારા પ્રયાસોથી થાય તે દિશામાં ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. નોડલ એ.બી. ચૌધરીએ નોંધાયેલી તમામ સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ અને ડિલિવરી રજિસ્ટ્રેશન નિભાવીને માતા મરણ અટકાવવા પર ભાર મૂક્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતરે સોનોગ્રાફી અને આરોગ્યલક્ષી સ્કેનર મશીન સહિતના ઉત્પાદકોને પણ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ લાગુ પડે છે તેમ જણાવ્યું હતું. તેમણે તપાસ દરમિયાનની ક્ષતિઓના નિવારણ, હોસ્પિટલમાં ફરજિયાત રજિસ્ટ્રેશન-રિન્યૂઅલ સહિત એક્ટની વિવિધ કલમો અંગે વિગતવાર માહિતી આપી હતી. ડૉ. દુમાતરે વધુમાં ફોર્મ-એફ માં રાખવાની થતી તકેદારી, હોસ્પિટલમાં નવા સોનોગ્રાફી મશીનના યુઝર ડોક્ટર ઉમેરવા અંગેની અરજી, નવું સોનોગ્રાફી મશીન ખરીદ કરવા અંગેની અરજી અને સોનોગ્રાફી ઇમેજિંગ મશીન ઇન્સ્ટોલ થયા બાદ મશીનની વિગતો ફોર્મ-બી માં ઉમેરવા માટેની પ્રક્રિયા સમજાવી હતી. ડૉ. પુનિત રાખોલિયા અને ડૉ. દોમડિયા સહિતના અન્ય ડોકટરોએ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ટેક્નોલોજીના ઉપયોગ અને સોશિયલ મીડિયાની સામાજિક અસરોને સાંકળીને પોતાના પ્રતિભાવો અને વિચારો રજૂ કર્યા હતા. ક્વોલિટી મેડિકલ ઈન્શ્યોરન્સ ઓફિસર શ્રી એચ. કણસાગરાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય ધ્યેય નવા રજિસ્ટર થયેલા પ્રેક્ટિશનર્સ અને ડોકટરોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જાણકારી આપવાનો છે, જેથી ભવિષ્યમાં કાયદાકીય કાળજી રાખી શકાય.પ્રોગ્રામ આસિસ્ટન્ટ યોગેશ કિંદરખેડિયાએ પ્રેઝન્ટેશન દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નું જિલ્લાનું માળખું, નિયમોનુસાર પ્રક્રિયા, સેક્સ રેશિયો અને કુલ રજિસ્ટ્રેશન્સ સહિતની વિગતો વર્ણવી હતી. ઉપસ્થિત સર્વેએ 'બેટી બચાવો, બેટી પઢાવો' અંતર્ગત સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટેના શપથ લીધા હતા.આ વર્કશોપમાં ઉના સિવિલ સુપરિટેન્ડન્ટ મિશ્રા, વેરાવળ સહિત જિલ્લાના પ્રેક્ટીશનર્સ અને પી.સી.પી.એન.ડી.ટી. અંતર્ગત નોંધાયેલા ડોકટરો, મેડિકલ અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-સોમનાથ હાઈવે પર ભુવાટીંબી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક કારે બાઇકને ટક્કર મારી એક કિલોમીટરથી વધુ દૂર સુધી ઘસડ્યું હતું, જેના પરિણામે બાઇક પર સવાર બે યુવકો ઘાયલ થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પ્રાસલી ગામ નજીક મોગલમાતા મંદિર પાસેથી સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. બાદમાં તેને સુત્રાપાડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં તાલાલા તાલુકાના જશાધાર ગામના રહેવાસી પ્રવેશભાઈ કાળુભાઈ અને રજનીભાઈ જયંતિભાઈ નામના બે યુવકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો અને અન્ય મુસાફરોએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બંનેને કોડીનારની રાનાવાળા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માત સર્જનાર કારનો નંબર GJ 32B 3617 છે. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તબીબ હોવાનું અને નશાની હાલતમાં હોવાનું મનાય છે. આ સમગ્ર મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
સામાન્ય બોલાચાલીની દાઝ રાખી હુમલો:પાદરગઢ પાસે યુવાન પર પાઇપથી ચાર શખ્સનો હુમલો, ગંભીર ઇજા
દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પાદરગઢ ગામે રહેતા એક વ્યક્તિ પર ચાર શખ્સોએ મળી લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બનાવ બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. દાઠા પોલીસ સ્ટેશનમાં હરીશકુમાર મનુભાઈ પરમાર રહે પાદરગઢએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીએ કામકાજ પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અમુક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેઓ પોતાના ઘરે જઈ વાળું પાણી કરી થોડા સમય બાદ ઘરેથી બહાર પાન-માવો લેવા માટે નીકળ્યા હતા. તે સમયે રઘુ ગીગાભાઈ ભમ્મર, દાદુ કાદુભાઈ કામળિયા, ભીમા હમીરભાઈ કામળિયા તથા એક અજાણ્યો શખ્સ એક સંપ થઈ અને એકબીજાની મદદગારી કરી હરીશભાઈ પરમાર પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હરીશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓએ તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત હરીશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઘોઘા તાલુકાના સણોદર ગામે મોડી રાત્રે ઘરમાં ઘૂસણખોરી અને બાદમાં થયેલી મારામારીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા પુરુષના અવાજની શંકા થતાં પરિવારજનો જાગી જતા રૂમમાંથી એક યુવક ઝડપાઈ જતા મામલો બગડ્યો હતો અને બાદમાં બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં લાકડાના ધોકાથી હુમલો થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘોઘા તાલુકાના સણોદર ગામે રહેતા એક ફરિયાદી મોડી રાત્રે પોતાના ઘરે હતા ત્યારે પરિવારના સભ્યો અલગ અલગ રૂમમાં સુવા ગયા હતા. રાત્રે અંદાજે 10:30 વાગ્યે ફરિયાદી પાણી પીવા માટે ઊભા થયા ત્યારે તેમના ભાભી એકલા સુતા હોય તે રૂમમાંથી કોઈ અજાણ્યા પુરુષનો અવાજ સંભળાતા તેમને શંકા ઉપજી હતી. જેથી ફરિયાદીએ પરિવારજનોને જગાડી રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા થોડા પ્રયત્નો બાદ દરવાજો ખૂલ્યો હતો. દરવાજો ખુલતા રૂમની અંદર ફરિયાદીના ભાભી સાથે ગામમાં રહેતો અજય ઘુઘાભાઈ હળવદિયા હાજર હોવાનું જણાયું હતું. પરિવારજનોને જોઈ અજય ત્યાંથી દોડીને ભાગી ગયો હતો. તેને પકડવા માટે રાડુ દેકારા થતા અજયના સંબંધીઓ રાહુલ હળવદિયા, અનિલ હળવદિયા, સુનિલ હળવદિયા અને વિજય ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે માથાકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન વિજય અને રાહુલે ફરિયાદી તથા તેના પરિવારજનોને ધક્કા મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ભૂંડા બોલી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઘટનાની જાણ થતા ફરિયાદીના અન્ય કુટુંબી ભાઈઓ પણ સ્થળે આવી જતા બંને પક્ષ વચ્ચે સામસામે મારામારી સર્જાઈ હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને સાથે જ એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. તમે કંઈ નહીં કરી શકો, અમારું કાંઈ બગડશે નહીંઆ સમગ્ર ઘટના બન્યા બાદ ફરિયાદીએ શરૂઆતમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી આપી હતી, પરંતુ ત્યારબાદ આરોપીઓના સગા-સંબંધીઓ સહિતના લોકોએ એક જ ગામમાં રહેતા હોવાથી તમે અમારું કંઈ કરી શકશો નહીં અને અમારું કંઈ બગડવાનું પણ નથી તેવી ધમકીઓ આપતા ફરિયાદી ભયભીત બન્યા હતા. જેના પગલે ફરિયાદીએ આખરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવી પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
બાકી વીજ બિલ બાબતે ગ્રામ્ય પંથકમાં આવી જાગૃતતા:જિલ્લાના 13 ગામે વીજળીના 100% બિલ ભર્યા
હિસાબી વર્ષ અંતે મોટાભાગના સરકારી ખાતામાં જમા-ઉધારના લેખા જોખા સાથે કામગીરી વેગવંતી બનતી હોય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીનું વિતરણ, ગ્રાહકોને વીજળી પુરવઠો આપવા, વીજ બિલ વસુલાત, નવા જોડાણ આપવા અને વીજળીના માળખાગત વ્યવસ્થાપનનું કામ કરતી PGVCLમાં હાલ વીજળીના બાકી બિલની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં એક તરફ વીજ કર્મચારીઓ વીજળીના બાકી બિલ વસૂલવા અથાગ મહેનત કરી રહ્યા છે. તેનાથી વિપરીત ભાવનગર જિલ્લામાં નવી લહેર સાથે વીજળી બાકી બિલના નાણાં ભરવા લોકોમાં આવેલી જાગૃતતાથી જિલ્લાના 13 ગામોએ વીજળીના 100% બિલ ભર્યા છે. હિસાબી વર્ષ પૂરું થવાને ગણતરીના દિવસો બાકી હોય PGVCL ભાવનગર સર્કલ નીચેના ભાવનગર સિટી-1, ભાવનગર સિટી-2, ભાવનગર રૂરલ, મહુવા અને પાલિતાણા ડિવિઝનમાં વીજળીના બાકી બિલના નાણાં વસુલાતની ખાસ ઝુંબેશ ચાલી છે. ભાવનગર જિલ્લામાં PGVCLની નાણાં વસુલાતની ખાસ ઝુંબેશને ગ્રામ્ય વિસ્તારોમાં સારું એવું સમર્થન મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક આગેવાનોની મદદથી PGVCLના બાકી બિલના નાણાં લોકો પોતાની જવાબદારીનો ભાગ ગણી સામેથી ભરી રહ્યા છે. 100% બિલ ભરનારા ગામોનું સન્માન કરીશુંPGVCL ભાવનગર સર્કલ નીચેના વિસ્તારોમાં કે તરફ વીજળીના બાકી બિલના નાણાં વસુલાતની ખાસ ઝુંબેશ ચાલી રહી છે. તો બીજી તરફ નાગરિક તરીકે રાષ્ટ્રિય ફરજ ગણી લોકો સામેથી વીજળીનું બાકી બિલ ભરી રહ્યા છે. PGVCL ભાવનગર સર્કલમાં હાલ 13 જેટલા ગામોએ સંપૂર્ણ બિલ ભરી દીધું છે. જે અમારા માટે ગૌરવ સમાન બાબત છે ત્યારે વીજળીનું 100% બિલ ભરનારા ગામોનું સન્માન કરીશું. - યશપાલસિંહ જાડેજા, અધિક્ષક ઈજનેર, પી.જી.વી.સી.એલ. ભાવનગર વર્તુળ કચેરી ક્યા-ક્યા ગામોએ 100% બિલ ભર્યા
સૌરાષ્ટ્ર સમાચાર એનાલિસિસ:MKB યુનિ.માં આ વર્ષે 88 પૈકી 51 મેડલ યુવતીઓના ફાળે,ગત વર્ષે 62 મેડલ મળેલા
આગામી તા.29 માર્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાશે અને જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ સમગ્ર આયોજનની કમાન મહિલા શક્તિના હાથમાં રહેશે. આ સાથે યુનિ. દ્વારા જે 88 ગોલ્ડ અને સિલ્વર મેડલ તેજસ્વી યુવક યુવતીઓને એનાયત કરવાના છે તેમનાં આ વર્ષે એક નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે જેમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે યુવતીઓની મેડલ મેળવવાની ટકાવારી ઘટી છે અને યુવકોની વધી છે. આ વર્ષે કુલ 88 મેડલ પૈકી 51 મેડલ યુવતીઓએ મળ્યા છે જ્યારે 37 મેડલ યુવકોને ફાળે ગયા છે. ટકવારી મુજબ ગત વર્ષ. યુવતીઓને ફાળે 70 ટકા મેડલ હતા તે આ વર્ષે ઘટીને 57.95 ટકા થઇ ગઇ છે. જ્યારે યુવકોની મેડલ મેળવવાની ટકાવારી ગત વર્ષે માત્ર 30 ટકા હતી તે આ વર્ષે વધીને 42.05 ટકા થઇ ગઇ છે. તા. 29 માર્ચના રોજ આ દીક્ષાંત સમારોહ યોજવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આ વર્ષે કુલ 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 10,396 જૂના ડિગ્રીધારકો તથા ચાલુ વર્ષના 2,311 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ 88 મેડલ છે તેમાં 51 મેડલ યુવતીઓના ફાળે ગયા છે. જ્યારે બાકીના 37 મેડલ યુવકોના ફાળે ગયા છે. ગત વર્ષે 88 મેડલ પૈકી 62 મેડલ યુવતીઓને અને 26 મેડલ યુવકોને મળ્યા હતા જે ટકાવારીની દ્રષ્ટિએ 70.45 ટકા મેડલો યુવતીઓને અને માત્ર 29.55 ટકા મેડલ યુવકોને મળ્યા હતા. આ વખતે યુવકોની ટકાવારી વધી છે. મેડિકલના એક જ વિદ્યાર્થીને 6 ગોલ્ડ સાથે કુલ 8 મેડલઆ વખતે દીક્ષાંત સમારોહમાં 88 મેડલ છે તેમાં સૌથી વધુ 8 મેડલ એક જ વિદ્યાર્થીને ફાળે ગયા છે. આ તેજસ્વી વિદ્યાર્થી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનો એમબીબીએસ ફાઇનલનો વિદ્યાર્થી છે. જય કમલેશભાઇ બજાજે 6 ગોલ્ડ સાથે કુલ 8 મેડલ મેળવ્યા છે. એમેબીબીએસની ફાઇનલમાં સૌથી વધુ માર્ક મેળવવા બદલ જયને 6 ગોલ્ડ, એ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર અને અને સિલ્વર મેડલ એનાયત થશે. દીક્ષાંત સમારોહનું આયોજન મહિલાઓ સંભાળશેઆ સમારંભની સૌથી વિશેષ બાબત એ છે કે તેની તમામ પાયાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાપન મહિલા મોરચા દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સુકાન મહિલા પ્રતિનિધિઓના હાથમાં હોવું એ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે.
PGVCL એક્શન મોડમાં:વીજ કંપની 4 જિલ્લાના 20360 ગ્રાહકો પર તડાપીટ બોલાવશે
PGVCL દ્વારા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છની 11 સર્કલ કચેરીઓમાં વીજ બિલના બાકી નાણાંની વસુલાત માટે ફેબ્રુઆરી મહિનાની માફક ફરીવાર મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરાયું છે. તા.17મી માર્ચ ભાવનગર ઝોનલ ઓફિસ નીચેના ચાર જીલ્લાની 94 સહિત PGVCLના 273 સબ ડિવિઝનોમાં ખાસ વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવશે. મેગા ડિસકનેક્શન ડ્રાઈવમાં આજે PGVCL ઝોનલ ઓફિસ ભાવનગર નીચેના ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં બિલ નહીં ભરનારા 20360 ગ્રાહકો પર ઘોચ બોલાવવામાં આવશે. ભાવનગર સર્કલના 5, અમરેલી સર્કલના 4, સુરેન્દ્રનગર સર્કલના 3 અને બોટાદ સર્કલના 2 મળી કુલ 14 ડિવિઝન નીચના વિસ્તારોમાં મેગા ડિસકનેક્શન ડ્રાઈવને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની 11 સર્કલ કચેરીઓમાં ગત 12મી માર્ચે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ-2નો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. મેગા ડિસકનેક્શન ડ્રાઈવ-2માં સ્થાનિક કક્ષાએ PGVCL ભાવનગર સર્કલમાં વીજળીનું બિલ નહીં ભરનારા 6400 વીજ જોડાણ કાપવા 640 કર્મચારીના કાફલા સાથે 320 ટીમો કામે લગાડવામાં આવશે.
ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજે 40 લાખ વ્યક્તિઓને વ્યસન મુક્તિની પ્રેરણા આપી હતી અને આ જ સિલસિલો પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ દ્વારા ચાલી રહ્યો છે, તેનાં દ્વારા અત્યાર સુધી 20 લાખથી વધારે વ્યક્તિઓએ વ્યસન છોડવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. ભાવનગરનાં વિવિધ વિસ્તારોનાં બાળકો શહેરના અલગ અલગ ફેક્ટરીઓ જેવી કે નિરમા લિમિટેડ, ચિત્રા વિસ્તારની અલગ અલગ ફેક્ટરીઓ, એસ ટી બસ સ્ટેન્ડ, વિવિધ વિસ્તારોમાં આવેલા હીરાના કારખાનાઓ, મામસાની અલગ અલગ ફેક્ટરીઓ,રેલવે સ્ટેશન,વગેરેમાં જઈને ત્યાંના નાના કામદારોથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને, દર્દીઓ ને વ્યસનથી થતાં શરીરનાં નુકશાન દ્વારા વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપી, આ દુષણથી મુક્ત કરવાં માટે નિયમ ગ્રહણ કરાવીને તેનાં જીવનનું ભલું કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી તરફ નાની નાની બાલિકાઓએ પણ શહેરની અલગ અલગ 10 કરતાં વધારે હોસ્પિટલોમાં જઈને આશરે 350 કરતા પણ વધારે દર્દીઓ તેઓ જલ્દી સારા થઇ જાય અને તેમનું અને તેમના પરિવારનું જીવન આરોગ્યપ્રદ બની રહે તે માટે પ્રાર્થના કરી હતી. આ રીતે બાળકો અને બાલિકાઓની નિસ્વાર્થ ભાવે થતી સેવા જોઈને સામેના વ્યક્તિઓ વ્યસન છોડીને પોતાના અને પોતાના પરિવારને એક સુંદર અને આધ્યાત્મિક જીવનની પ્રેરણા લે છે. અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકો પોતાના ગુરુ મહંત સ્વામિ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 થી 15 એપ્રિલ 2026 સુધી BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે ઉપક્રમે ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ યોજવા જઈ રહ્યો છે તે માટે નાના મોટા તમામ સત્સંગી બાળકો,, ભાઈ, બહેનો દ્વારા અનોખો સેવા અને તપનાં નિયમો ગ્રહણ કરવામાં આવ્યા છે. 1250થી વધારે લોકોને નિર્વ્યસની બનાવ્યાભાવનગરનાં આશરે 350 કરતાં વધારે બાળકો અને બાલિકાએ અંદાજે 1250 કરતાં પણ વધારે લોકોને આ બીડી, સિગારેટ, તમાકુ વગેરે અનેક પ્રકારના વ્યસનોનાં દુષણથી મુક્ત કરીને નિવ્યસની બનીને તેનાં પરિવારનાં જીવનને ઉચ્ચ કક્ષાએ લઇ જવાની એક ઉમદા પ્રેરણા આપી રહ્યા છે. 60 જેટલાં કાર્યકરોની સાથે આ બાળકોની સુંદર અને નિસ્વાર્થભાવની સેવા દ્વારા સમાજસેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
સન્ડે ફોટો સ્ટોરી:હરવા ફરવા માટેનું નવું નજરાણું, બોરતળાવ પાસે નિર્મિત અર્બન ફોરેસ્ટ
ભાવનગર એક એવું સ્થળ છે જ્યાં થોડા અંતરે તમને કંઈક નવું અને રમણીય સ્થળ જોવાં મળે. બોરતળાવથી ચાલો તો બટર ફ્લાય પાર્ક, બીજી દિશામાં તરસમિયા તળાવ, ટબુડી તળાવ, રુવા તળાવ, રવેચી ધામ, અકવાડા તળાવ, કુંભારવાડા બર્ડ વોચિંગ, કેબલ સ્ટેઇડ પૂલ, અરે આવા તો અનેક સ્થળો છે જેની રમણીયતા શબ્દોમાં વર્ણવી અશક્ય છે. બાગ બગીચા ધરાવતા સર્કલો તો ખરા જ. બોરતળાવ પાસે આવેલ આ અદભુત સ્થળ કે જ્યાં લખવામાં આવ્યું છે ‘’ I am in Urban Forest, BHAVNAGAR ‘’. તમે ફોરેસ્ટમાં આવી ગયા હોય અને બાજુમાં જ છલકાયેલું તળાવ હોય તો, ખરેખર આ રમણીયતાને માણવા જે તે સ્થળ પર જ જવું યોગ્ય ગણાશે.
વેધર રિપોર્ટ:બપોરે તાપમાન 3.6 ડિગ્રી ઘટીને 35.6 ડિગ્રી થઇ ગયુ
ભાવનગર શહેરમાં તાપમાનમાં વધઘટ સતત થઇ રહી છે ત્યારે આજે શહેરમાં મહત્તમ તાપમાન એક જ દિવસમાં 3.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 23.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 20 કિલોમીટર થઇ જતા સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી પવનના સૂસવાટા ફૂંકાતા ગરમીમાં રાહત મળી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ જતા બે દિવસ ગરમીમાં રાહત રહેવાની છે ત્યાર બાદ તા.16 માર્ચથી પુન: ગરમીનો પારો ઉચકાશે તેમજ તા.19 માર્ચે ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તે આજે એક જ દિવસમાં 3.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આથી નગરજનોએ આજે ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. સાથે આજે સાંજના સમયે 20 કિલોમીટરની તોફાની ઝડપે પવન ફૂંકાતા ગરમી ઘટી હતી. રાત્રે 3 ડિગ્રી વધુ તાપમાનશહેરમાં રાતનું ઉષ્ણતામાન 23.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે સામાન્ય રીતે હોવું જોઇએ તેનાથી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. તાપમાનમાં રોજિંદી વધઘટ
સિટી એન્કર:એડવાન્સ ટેક્સ માટે ITની ઇ-ઝૂંબેશ: ઇ-મેલ ફટકાર્યા
આવકવેરા વિભાગે ડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરના કરદાતાઓને એડવાન્સ ટેક્સ સંબંધિત ઇ-ઝૂંબેશ શરૂ કરી છે. વિભાગ દ્વારા અનેક કરદાતાઓને ઇ-મેલ મોકલી તેમની નાણાકીય માહિતીના આધારે એડવાન્સ ટેક્સની જવાબદારીની સમીક્ષા કરવા યાદ અપાવવામાં આવી છે. વિભાગ દ્વારા મોકલાયેલા ઇ-મેલમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલા ટર્નઓવર, ખરીદી અને અન્ય નોંધપાત્ર નાણાકીય વ્યવહારોની વિગતો દર્શાવવામાં આવી છે. આ માહિતી વિવિધ ડેટા સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેમાં GST રિટર્ન ફાઇલિંગ, નાણાકીય વ્યવહારના રેકોર્ડ અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. આ સંદેશાવ્યવહારનો મુખ્ય હેતુ કરદાતાઓને માર્ચ મહિનાની સમયમર્યાદા પહેલાં તેમની એડવાન્સ ટેક્સ જવાબદારીનું પુનર્મૂલ્યાંકન કરવા પ્રોત્સાહિત કરવાનો છે. વિભાગ ઈચ્છે છે કે જો કોઈ બાકી રકમ હોય તો તે નિર્ધારિત સમયમર્યાદામાં ચૂકવવામાં આવે અને પછી વ્યાજ અથવા દંડની સ્થિતિ ઊભી ન થાય. કર અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પહેલ ડેટા એનાલિટિક્સ અને માહિતી એકીકરણના વધતા ઉપયોગનો ભાગ છે. વિભાગ હવે વિવિધ સ્ત્રોતમાંથી મળતી માહિતીનું વિશ્લેષણ કરીને કરદાતાઓને સમયસર યાદ અપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી સ્વૈચ્છિક પાલન વધે. આવકવેરા વિભાગ દ્વારા વિભાગ દ્વારા અનેક કરદાતાઓને ઇ-મેલ મોકલી તેમની નાણાકીય માહિતીના આધારે એડવાન્સ ટેક્સની જવાબદારીની સમીક્ષા કરવા યાદ અપાવી છે. કર ક્ષેત્રના નિષ્ણાતો અને વ્યાવસાયિકોએ આ પગલાનું સ્વાગત કર્યું છે. તેમના મતે, આવા લક્ષિત રીમાઇન્ડર કરદાતાઓને નાણાકીય ડેટાની અગાઉથી સમીક્ષા કરવાની તક આપે છે. જો ઓછો એડવાન્સ ટેક્સ ચૂકવાયો હોય તો સુધારો કરીને વ્યાજ કે દંડથી બચી શકાય છે. કેટલાક નિષ્ણાતોએ સંદેશાવ્યવહારના સમય અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા કરદાતાઓને 13 માર્ચની સાંજે આ ઇ-મેલ મળ્યા હોવાના અહેવાલ છે, એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તા.15 માર્ચ છે. વચ્ચે સપ્તાહાંત હોવાથી કરદાતાઓને માહિતીનું વિશ્લેષણ કરવા અને વધારાની ચુકવણીની વ્યવસ્થા માટે ઓછો સમય મળી શકે છે. ભાસ્કર એક્સપર્ટડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરમાં ઝૂંબેશઇ-મેલમાં દર્શાવાયેલ ઊંચો GST ટર્નઓવર અથવા મોટા નાણાકીય વ્યવહારો આપમેળે એડવાન્સ ટેક્સ ચૂકવવાની ફરજ ઉભી કરતા નથી. જો કરદાતાને કરપાત્ર નફો હોય, TDS અથવા TCS ક્રેડિટ બાદ ચોખ્ખી કર જવાબદારી ₹10,000થી વધુ હોય ત્યારે જ એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી બને છે.આવકવેરા વિભાગે ડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરના કરદાતાઓને એડવાન્સ ટેક્સ સંબંધિત ઇ-ઝૂંબેશ શરૂ કરી છે. - સુનય જરીવાલા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
સન્ડે બિગ સ્ટોરી:હુમલાગ્રસ્ત જહાજો અલંગ માટે આફતમાં અવસર બની શકે
મધ્ય પૂર્વમાં વધતી જતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને હોર્મુઝ સમુદ્રધૂની વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક જળમાર્ગીય વેપાર પર ગંભીર અસર પડી રહી છે. ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધી રહેલા યુધ્ધના માહોલ વચ્ચે હોર્મુઝ સમુદ્રધૂનીમાં માલવાહક જહાજો પર હુમલાઓની ઘટનાઓ વધતી જઈ રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 25 જેટલા જહાજો પર હુમલા થયા હોવાનું આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ હુમલાઓને કારણે મોટા ભાગના જહાજો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત બન્યા છે. નિષ્ણાંતોના મત મુજબ, આ જહાજોને ફરીથી વેપારિક ફેરીમાં સામેલ કરવાની શક્યતા લગભગ નાબૂદ બની ગઈ છે. પરિણામે, આવા જહાજોને રિસાયક્લિંગ માટે મોકલવાની સંભાવનાઓ વધી રહી છે, જેના કારણે ભારતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે નવી તકો ઉભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇરાન દ્વારા હોર્મુઝ સમુદ્રધૂનીને નિયંત્રિત કરવામાં આવી રહી છે અને તેની આસપાસ રહેલા માલવાહક જહાજો પર હુમલા થવાના અહેવાલો મળી રહ્યા છે. વિશ્વના મહત્વના તેલ અને માલ પરિવહન માર્ગ તરીકે ઓળખાતી આ સમુદ્રધૂનીમાંથી દરરોજ મોટી સંખ્યામાં જહાજો પસાર થાય છે. તેથી અહીં થતા હુમલાઓનો સીધો પ્રભાવ વૈશ્વિક વેપાર અને શિપિંગ ઉદ્યોગ પર પડી રહ્યો છે. વિશ્વભરમાં શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે દક્ષિણ એશિયાના દેશોનું પ્રભુત્વ માનવામાં આવે છે. અંદાજે 80 ટકા જેટલા જહાજો રિસાયક્લિંગ માટે દક્ષિણ એશિયામાં મોકલવામાં આવે છે. આ ક્ષેત્રમાં ભારતનું અલંગ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ કેન્દ્રોમાંનું એક ગણાય છે. છેલ્લા ત્રણ વર્ષથી અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્ટીલ અને સ્ક્રેપના ભાવ ઘટતાં જહાજ લાવવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. જોકે છેલ્લા થોડા સમયથી મેટલ અને સ્ક્રેપના ભાવોમાં ફરીથી ચેતના દેખાતા અલંગમાં ધીમે ધીમે જહાજોની આવક શરૂ થઈ રહી છે. વિશેષજ્ઞો માને છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુધ્ધ લાંબુ ચાલે અને હોર્મુઝ વિસ્તારમાં વધુ જહાજો નુકસાન પામે, તો આવા જહાજોને રિસાયક્લિંગ માટે અલંગ મોકલવાની સંભાવના વધુ છે. જહાજોને અંતિમ રીતે ભાંગવા માટે જરૂરી સુવિધાઓ, મજબૂત માળખું અને અનુભવી મજૂરબળના કારણે અલંગને આ માટે આદર્શ સ્થળ માનવામાં આવે છે. દક્ષિણ એશિયામાં અલંગના મુખ્ય હરિફ તરીકે પાકિસ્તાન અને બાંગ્લાદેશના શિપ બ્રેકિંગ યાર્ડો ગણાય છે. જોકે આ બંને દેશોમાં હાલ નાણાકીય તરલતાની અછત તથા રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેના કારણે જહાજ માલિકો માટે વ્યવહારો અને ચુકવણીમાં અનિશ્ચિતતા ઉભી થાય છે. તેની સામે ભારતમાં સ્થિર નીતિઓ, સુવ્યવસ્થિત બેંકિંગ વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન થતું હોવાને કારણે જહાજ માલિકો માટે અલંગ વધુ વિશ્વસનીય ગંતવ્ય બની રહ્યું છે. જહાજ માલિકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેમનું જહાજ સુરક્ષિત રીતે અંતિમ સ્થળે પહોંચે અને તેમની નાણાકીય પ્રક્રિયાઓ અટકે નહીં. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખતા શિપિંગ ઉદ્યોગના નિષ્ણાંતો માને છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતાની સકારાત્મક અસર નજીકના સમયમાં અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર જોવા મળી શકે છે. ભાસ્કર એક્સપર્ટયુધ્ધના કારણે અલંગ ઉદ્યોગને ગતિ મળી શકેજો હાલમાં ચાલી રહેલા ઈરાક અને અમેરીકા વચ્ચેના યુધ્ધમાં નુકસાન પામેલા જહાજો અલંગમાં રિસાયક્લિંગ માટે આવે તો સ્થાનિક ઉદ્યોગને નવી ગતિ મળશે. સ્ટીલ સ્ક્રેપનું ઉત્પાદન વધશે, હજારો મજૂરોને રોજગાર મળશે અને અલંગમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી મંદીને રાહત મળી શકે છે. હાલ યુદ્ધમાં અનેક જહાજોને નુકશાન થઈ રહ્યું છે. - આશિત પરિખ, મરિન નિષ્ણાંત
સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે પોલીસ વડા:સુરત ડાયમંડ બુર્સની રાજ્યના પોલીસ વડાએ મુલાકાત લીધી
સુરત ડાયમંડ બુર્સમાં વધતી વ્યાપારિક પ્રવૃત્તિઓ વચ્ચે રાજ્યના પોલીસ વડાએ મુલાકાત બાદ બેઠક યોજા હતી સુરત ડાયમંડ બુર્સમાં વેપારને વેગ મળી રહ્યો છે. દરરોજ નવી ઓફિસો વેપારી મિત્રો SDB શરુ કરી થઈ રહી છે, રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડો. કે. લક્ષ્મીનારાયણ રાવએ તેમની ટીમ સાથે ખજોદ ડ્રીમ સિટી ખાતે આવેલ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ડાયમંડ બુર્સના બિલ્ડિંગનું અવલોકન કરી ડાયમંડ ટ્રેડરો, વેપારીઓ, બ્રોકર મિત્રો અને આંગડિયા પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી હતી. તેમની સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. મિટિંગ દરમિયાન સુરત ડાયમંડ બુર્સમાં વધતી વ્યાપારિક પ્રવૃત્તિ, વેપારીઓની વધતી અવરજવર તથા સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરી હતી.
સમૂહ વિવાહ સમારોહ યોજાયો:ગોડાદરામાં દ્વિતીય સમુહ વિવાહ સમારોહ યોજાયો, 51 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિ દ્વારા દ્વિતીય સમુહ વિવાહ સમારોહનુ આયોજન 14 માર્ચ શનિવાર સાંજે મહર્ષિ આસ્તિક વિદ્યાલય ગોડાદરા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સવારે 9:30 કલાકે મંડપ પ્રવેશ અને 10:30 કલાકે લગ્નનો પ્રારંભ થયો હતો. સમૂહ વિવાહ સમારોહ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલલે કન્યાઓને સુભાષિશ આપવાની સાથે આવતા વર્ષે 14 માર્ચ 2027ના રોજ થનાર ત્રીજા સમૂહ લગ્ન સમારોહનું. ઉદ્ઘાટન કર્યું હતું. માથે દેવું કરીને વિવાહ કરવા પડે નહીં તે માટે સુરતમાં રહેતા ઉત્તર ભારતીય સમાજના મધ્યમ વર્ગીય પરિવારોની દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાય તે માટે ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિના અગ્રણી અમરસિંહ રાજપુત, અમિત સિંહ રાજપુત, વિજય પ્રકાશ રાજપુત, અનુજ રાજપુત, ધર્માત્મા ત્રિપાઠી, કપિસ રાજપુત, અનુપ રાજપુત, ગીરીશ શ્રીવાત્સવ,રાજુ પાસવાન અને રાહુલ તિવારી સહિતના આગેવાનોની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક દીકરીઓને કરિયાવર સ્વરૂપે 35 જેટલી ચીજ વસ્તુઓ ભેટમાં અપાઇ હતી. અતિથિ વિશેષ સંત વિજયનંદપુરીજી મહારાજ પંચાવતી મહાનિર્વાણી અખાડા દક્ષિણામૂર્તિ શનિ હનુમાન મંદિરના આશીર્વાદ અને ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને કિશોર બિન્દલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
એરપોર્ટ રોડ પર ‘રાજઘરાના લોન્સ’ ખાતે યશવી ફાઉન્ડેશન ટ્રસ્ટનો તૃતીય સમૂહલગ્નોત્સવ શનિવારે સંપન્ન થયો હતો, જેમાં જરૂરિયાતમંદ અને પિતાવિહોણી 101 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ સમારોહમાં પિતાની છત્રછાયા ગુમાવનારને પ્રાથમિકતા અપાઈ હતી. હવે તમામ દીકરીઓને સર્વાઈકલ કેન્સર વિરોધી રસી પણ અપાશે. આ સમૂહલગ્નમાં 4,000થી વધુ મહેમાનોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ગીરની અનાથ દીકરીનું કન્યાદાનનું સપનું સાકારઆ સમૂહલગ્નમાં ગીર-સોમનાથની એક અનાથ દીકરીએ પણ ફોર્મ ભર્યું હતું. પરિવારમાં 3 દીકરી જ હતી, જે પૈકી વચલી બહેને ફોર્મ ભર્યું હતું. માતા-પિતાના અવસાન પછી તેને ચિંતા હતી કે મારું કન્યાદાન કોણ કરશે? તેણે યશ્વી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રી ચાંપાનેરિયાને રિક્વેસ્ટ કરતાં તેનો પણ સમાવેશ કરાયો હતો.
સ્કિલ સેન્ટર:હવેથી સ્કૂલોમાં જ અપાશે કૃષિથી લઇ ITI સુધીની પ્રેક્ટિકલ ટ્રેનિંગ
ગુજરાત બોર્ડ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ રાજ્યની અંદાજિત 5700 ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 થી સેલ્ફ ફાઇનાન્સ ધોરણે વોકેશનલ એજ્યુકેશન શરૂ કરાશે.. શિક્ષણ બોર્ડ દ્વારા એગ્રીકલ્ચર, એપરેલ મેડઅપ્સ, ઓટોમોટિવ, વેલનેસ, બેન્કિંગ, ઈલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર, IT-ITes, મીડિયા, પ્લમ્બિંગ, રીટેલ, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી, ટેલિકોમ, સ્પોર્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ અને કન્સ્ટ્રક્શન.સહિત કુલ 16 સેક્ટર્સની યાદી જાહેરકરાઇ છે. આ અભ્યાસક્રમો શરૂ કરવા માંગતી ખાનગી સ્કૂલોએ 20 એપ્રિલ સુધીમાં અરજી કરી DEO કક્ષાએથી મંજૂરી મેળવવાની રહેશે. આ રહેશે વોકેશનલ શિક્ષણનું માળખું લેબ અને ક્વોલિફાઇડ ટ્રેનર્સની વ્યવસ્થા કરવી પડશેસ્કૂલોએ જાતે કરવું પડશે લેબ સેટઅપ અને ટ્રેનર્સની નિમણૂક, બોર્ડની માર્ગદર્શિકા મુજબ વોકેશનલ વિષય શરૂ કરનાર સ્કૂલે પોતાના પરિસરમાં અલગ પ્રયોગશાળા બનાવવી પડશે, જેમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. આ ઉપરાંત, સ્કૂલોએ નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) ના ધોરણો મુજબ લાયકાત ધરાવતા વોકેશનલ ટ્રેનર્સની નિમણૂક કરવાની રહેશે. આ ટ્રેનર્સનું મહેનતાણું પણ સ્કૂલ સંચાલકોએ જ ભોગવવાનું રહેશે. યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેનર્સની વિગતોની ચકાસણી DEO દ્વારા સ્થળ તપાસ (Site Inspection) કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ટેક્નિકલ કૌશલ્યના માર્ગો ખુલશે
નોકરી ન્યુઝ:રેલવેમાં એપ્રેન્ટિસની 2801 જગ્યા ભરાશે, માસિક 8 હજાર સ્ટાઈપેન્ડ
દ. મધ્ય રેલવે દ્વારા ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરાઇ છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) દ્વારા વિવિધ ટ્રેડમાં કુલ 2801 એક્ટ એપ્રેન્ટિસ પદો પર નિમણૂક કરાશે. આ તાલીમ દરમિયાન પસંદગી પામનાર ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ એક્ટ મુજબ દર મહિને અંદાજે 7,000 થી 8,050 સુધીનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. રેલવેમાં અનુભવ મેળવવા ઈચ્છતા ITI યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. મેરિટના આધારે પસંદગી આ રીતે અરજી કરી શકાશેરેલવેની વેબસાઈટ scr.indianrailways.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
દિલ્હીગેટ ક્રિસ્ટલ હોટેલની સામે ટાઈગર શોપ નામના રેડીમેડ ગારમેન્ટના શોરૂમમાં બીજા માળે ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા 3 ફાયર સ્ટેશનની 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. એક કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. બીજા માળે કાપડનો મોટો જથ્થો સ્ટોક કરાયો હોવાથી આગના કારણે તેમા ભારે નુકશાન થયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. એસીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. પંડોળમાં કારખાનામાં આગથી મશીન ખાખવેડરોડ પંડોળ દાસકાકા ફરસાણની ગલીમાં રહેમત નગરમાં એક લૂમ્સના કારખાનામાં શુક્રવારે મોડી રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ કારખાનામાં કામ કરતા કારીગરોએ મશીન માં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે કોઈને ઈજા કે થઈ ન હતી.
લોક અદાલત સાર્થક થઈ:ટ્રાફિક ચલણ પેટે 38 કરોડ, ચેક બાઉન્સમાં 99 કરોડનું સેટલમેન્ટ
શનિવારે યોજાયેલી લોક અદાલતમાં લોકોએ ટ્રાફિક ચલણ પેટે 38 કરોડ ભર્યા હતા જ્યારે, ચેક બાઉન્સના કેસોમાં કુલ 99.32 કરોડનું સેટલમેન્ટ કરાયું હતું. વકીલોના સમાધાનકારી વલણ, માતા-પિતાએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા અનેક પરિવારના માળા ફરી બંધાયા હતા. એક કેસમાં તો પત્નીએ ઘરકામ નહીં કરવાની જીદ છોડી હતી અને પતિએ પણ પત્ની બહાર કામ કરે એ માટે મંજૂરી આપી હતી. એડવોકેટ પ્રીતિ જોષી કહે છે કે, બે કેસમાં આજ તર્ક પર સમાધાન થયું હતું. પતિ સારી રીતે રાખતો ન હોય પત્ની રાજી ન હતી. છુટાછેડા સુધીની અરજી કરી હતી. આખરે પત્નીના અઠવાડિયામાં એકવાર ફરવા લઈ જવાના કે બહાર જમવા બાબતની જે નાની-નાની તકારારો હતી તે પતિએ દૂર કરવાની તૈયારી દાખવી હતી. આ ઉપરાંત નેશનલ લોક અદાલતમાં ટ્રાફિક ઇ-ચલણ અને પ્રિ લિટિગેશનના કેસોમાં લોકોએ 38 કરોડ ભર્યા-સેટલમેન્ટ કર્યા હતા. એડવોકેટ જફર બેલાવાલા કહે છે કે, લોક અદાલતોમાં થતા સમાધાનકારી વલણના લીધે જ કેસોનું ભારણ હળવું થઈ રહ્યું છે.
આગ લાગી:વાલક નજીક ચાલુ કારે શોર્ટસર્કિટથી આગ,ચાલક સહિત 2 લોકોનો બચાવ
વાલક પાટીયા પાસે ડસ્ટર કારમાં શુક્રવારે રાત્રે શોર્ટસર્કિટ બાદ આગ લાગી હતી. બોનેટમાંથી ધુમાડો નીકળતો જોઈ અન્ય વાહન ચાલકે જાણ કરતા કાર ચાલકે તાત્કાલિક કાર ઉભી કરી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવી લીધો હતો. કારમાં સવાર બે વ્યક્તિ સમયસર નીચે ઉતરી ગયા હોવાથી આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. આગન કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
છેતરપિંડી:આલબેનિયાના વિઝાના નામે 2 ઈજનેર મિત્રો સાથે 17.41 લાખની છેતરપિંડી
આલબેનિયામાં વિઝા અપાવવાના બહાને અડાજણના દંપતીએ બે એન્જિનિયર મિત્રો પાસેથી રૂ.17.41 લાખ પડાવી છેતરપિંડી કરી છે. મૂળ અમદાવાદ રહેતા યશ પટેલ સિમાટેકમાં એન્જિનિયર છે. તેમનો મિત્ર પથીક પટેલ પાંડેસરા શ્રુંગલ હોમ્સમાં રહે છે. બંને મિત્રો વિદેશ જવા માંગતા હતા. 2025માં પથીકે તેમના પરિચિત બ્રિજેશ લીલાભાઇ પટેલ (રહે, ક્રિશ રેસિડેન્સી, અડાજણ) વિઝા કરાવી આપતા હોવાનું કહ્યું હતું, જેથી બંને મિત્રોએ બ્રિજેશનો સંપર્ક કરતાં તે પાંડેસરા પથીકના ઘરે મળવા આવ્યો હતો અને બંને સાથે વાત કરીને આલબેનિયાના વિઝા ટિકિટ અને વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી હતી, જેનો કુલ રૂ.17.41 લાખ કહી ટેસ્ટ વિઝા અને ઓફર લેટરની કોપી મોકલી હતી. જેથી બંનેએ રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં બંનેને મુંબઇ બોલાવીને વિઝા અને મુંબઇથી વાયા આઝરબેજાન થઇ આલબેનિયાની ટિકિટ મોકલી હતી, જેથી બંને મિત્રો મુંબઇથી ફ્લાઈટમાં આઝરબેજાન પહોચ્યા હતા, જ્યાં ઇમિગ્રેશને પકડી તપાસ કરતાં વિઝા ફેક નીકળ્યા હતા, જેથી પરત મોકલી કરી હતા. ભારત આવ્યા બાદ બંનેએ બ્રિજેશને વાત કરતા તે માનવા તૈયાર ન હતો અને પૈસા પણ પરત આપ્યા ન હતા. બ્રિજેશ અને તેની પત્ની પ્રિયંકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ બોલાવી બહાના કાઢી 5 દિવસ હોટલમાં રાખ્યાબ્રિજેશે બંનેને ટિકિટ લેવા ફાઉન્ટન હોટલ પર બોલાવ્યા હતા, જ્યાં બંને મિત્રોએ ટિકિટ માંગતા બ્રિજેશે બહાના કાઢી 5 દિવસ સુધી હોટલમાં રાખ્યા હતા. બાદમાં આઝરબેજાનની ટિકિટ આપી હતી. બંને મિત્રો ત્યાં જતા બે દિવસ હોટલમાં રોકાવ્યા હતા. બાદમાં અલબેનિયાની ટિકિટ મોકલી હતી, જે લઇને બંને બાકુ એરપોર્ટ પર ગયા તો પકડાઈ ગયા હતા.
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ગણાતું યાર્ન માર્કેટ હવે શેરબજાર જેવી સ્થિતિમાં પહોંચી ગયું છે. અગાઉ દર શુક્રવારે ભાવ જાહેર થતા હતા, પરંતુ હાલમાં રોજે રોજ નવા ભાવ વધારા સાથે જાહેર થઈ રહ્યા છે. ઉદ્યોગકારોના કહેવા મુજબ ઘણા વર્ષોમાં આ સ્થિતિ પહેલીવાર જોવા મળી રહી છે. છેલ્લા 6થી 10 દિવસમાં મધર યાર્નના ભાવમાં કિલો દીઠ 50 રૂપિયા વધ્યા છે. પહેલાં ભાવ 100 રૂપિયા હતા જે 145થી 150 રૂપિયા થઈ ગયા છે. વિસ્કોસના ભાવ 215થી 220 રૂપિયા હતાં જે 245થી 250 થયા છે. યાર્નના ભાવ વધતાં પ્રતિ મીટર કાપડના ભાવમાં 2થી 8 રૂપિયા સુધીનો વધારો થયો છે. રોજ ભાવ જાહેર થવા સાથે બજારનો સમય પણ બદલાયો છે. સચિન જીઆઈડીસી એસો.ના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું કે ભાવની અસ્થિરતા ચિંતાજનક છે. જો આવી સ્થિતિ લાંબી રહેશે તો ઉત્પાદકો માટે પ્લાનિંગ કરવું મુશ્કેલ બનશે અને ખર્ચમાં વધારો થવાથી સ્પર્ધા પર પણ અસર થશે. ભાવ પડ્યા પછી જ ટ્રાન્ઝેક્શનએરજેટ વીવર્સ એસો. પ્રમુખ મયૂર ધોળિયાએ કહ્યું કે, ‘જોખમ વધી ગયું છે. દિવસ દરમિયાન ભાવોમાં મોટા ફેરફાર થવાની શક્યતા હોવાથી ઘણા વેપારીઓ સાવચેતીના ભાગરૂપે દિવસ દરમિયાન વેચાણ ટાળી રહ્યા છે અને સાંજે ભાવ નક્કી થયા પછી જ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. ખર્ચ વધી જતાં દિવસે સેલ બંધયાર્ન બજાર અગાઉ સવારે 11થી 12 વાગ્યાની વચ્ચે ખુલતું હતું અને દિવસે પણ વેપાર થતો હતો. હાલ યાર્નના વેચાણમાં અનિશ્ચિતતા અને વધતા ખર્ચને કારણે વેપારીઓએ દિવસ દરમિયાન સેલ બંધ રાખવાનું શરૂ કર્યું છે. હાલ બજાર સાંજે લગભગ 5 વાગ્યા પછી ખુલતું હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. બજારની પારદર્શિતા માટે ભાવના ઓચિંતા ઉછાળા પર દેખરેખ જરૂરીઉદ્યોગકારોના મતે ભાવ વધારો કૃત્રિમ છે. કેટલાક યાર્ન ઉત્પાદકો અને ટ્રેડરો પુરવઠાને નિયંત્રિત કરીને કે વેચાણનો સમય મર્યાદિત રાખીને ગેરલાભ ઊઠાવી રહ્યા છે. ખાસ કરીને બજારનો સમય સાંજે રાખવાની પ્રથા અને દિવસે સેલ બંધ રાખવાના નિર્ણયને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. બજારમાં પારદર્શિતા ઓછી થઈ રહી છે અને રોજે રોજ વધતા ભાવોથી વીવિંગ યુનિટો માટે ઉત્પાદન ખર્ચનું આયોજન મુશ્કેલ બની રહ્યું છે. વિસ્કોસ યાર્ન વૂડ પલ્પમાંથી બને છે, તેથી યુદ્ધ કે દરિયાઈ વેપારના જોખમ સાથે સંબંધ નથી છતાં પણ કેટલાક સપ્લાયરો આ કારણો રજૂ કરીને ભાવ વધારો કરી રહ્યા છે.
દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ અને સપ્લાયમાં ઉભી થયેલી પરિસ્થિતિ અને શહેરમાં ફેલાયેલી ગેસ બોટલની અછત અંગેની અફવાઓ વચ્ચે સુરત જિલ્લા કલેક્ટર તંત્ર સક્રિય બન્યું છે. ગેસ સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સહિત ઓઈલ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્ત્વનો નિર્ણય કરાયો છે કે, સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલમાં PNG ગેસની લાઈન નહીં હોય અને કોમર્શિયલ ગેસનો ઉપયોગ થતો હશે તેમને ગેસની બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં તાત્કાલિક પેન્ડિંગ ગેસ કનેક્શન વહેલી તકે આપવા ગુજરાત ગેસના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આવશ્યક સેવાઓને ગેસ સપ્લાયમાં અગ્રતા, કલેક્ટરમાં અરજી કરવાની રહેશેકેન્દ્ર સરકારના સુધારેલા આદેશ મુજબ હવે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ અને મેસ જેવી આવશ્યક સેવાઓને કોમર્શિયલ સિલિન્ડર સપ્લાયમાં પ્રાથમિકતા અપાશે. હેલ્થ-એજ્યુકેશન કેટગરીમાં જ્યાં પીએનજી લાઈન નથી અને કોમર્શિયલ બોટલોનો ઉપયોગ થાય છે તેમને પણ બોટલો આપવામાં આવશે. આ માટે કલેક્ટરને અરજી કરવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ કોમર્શિયલ ગેસની બોટલો આપવામાં આવશે ‘અરજી મળતાની સાથે જ પ્રક્રિયા પૂર્ણ કરો’ : જિલ્લા તંત્રએ ગુજરાત ગેસ અને સંબંધિત વિભાગોને સૂચના આપી છે કે જ્યાં PNG નેટવર્ક ઉપલબ્ધ હોય ત્યાં અરજી મળતાની સાથે જ પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક કનેક્શન આપવામાં આવે. પેન્ડિંગ અરજીનો પણ ઝડપથી હલ લાવવા કહેવાયું છે.
સુરત મેટ્રોના ભૂગર્ભ રૂટમાં મુંબઈ મેટ્રો કરતાં વધુ અદ્યતન મોબાઇલ નેટવર્કિંગ હશે. ચોક બજાર, મસ્કતી અને લાભેશ્વર મેટ્રો સ્ટેશનો પર બિલ્ટ-ઇન 5G કવરેજ સોલ્યુશન્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેથી મુસાફરોનું મોબાઇલ નેટવર્ક વિક્ષેપિત ન થાય. GMRC એ ભૂગર્ભ સ્ટેશનો અને ટનલમાં સીમલેસ મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ મેટ્રો મુસાફરી દરમિયાન 2G થી 5G સુધી સુસંગત અને સુધારેલ સિગ્નલ કામગીરી સુનિશ્ચિત કરશે. વીડિયો કોલ, ઓનલાઈન પેમેન્ટમાં અડચણ નહીં આવેમેટ્રોની મુસાફરીમાં ઘણીવાર કોલ ડ્રોપ, ઈન્ટરનેટ આઉટેજ અથવા મેસેજ જવામાં વાર લાગવી જેવી સમસ્યાઓનો સામનો થાય છે. નેટવર્ક ખાસ કરીને ભૂગર્ભમાં ઘણીવાર વર્ચ્યુઅલ રીતે અસ્તિત્વમાં નથી. બિલ્ટ-ઇન સોલ્યુશન્સ મુસાફરો માટે સીમલેસ વીડિયો કોલ, ઓનલાઈન પેમેન્ટ, સોશિયલ મીડિયા કે ઓફિસને લગતા કામો વિક્ષેપ વિના કરી શકાશે. GMRC ની યોજના અનુસાર, લાઇસન્સધારક સમગ્ર નેટવર્ક સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. લાઇસન્સનો સમયગાળો અંદાજે 9 વર્ષનો રહેશે. ટનલો બની ગઈ, હવે ટ્રેક-ભૂગર્ભ સ્ટેશનોનું કામ ચીલ રહ્યું છેસુરત મેટ્રો રેલના ભૂગર્ભ વિભાગ માટે ટનલ બની ગઈ છે. હવે ટ્રેક-ભૂગર્ભ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોના ભૂગર્ભમાં મોબાઇલ નેટવર્ક માટે ટેન્ડર પ્રક્રિયા બે પેકેજમાં કરાશે. પ્રથમ ટેકનિકલ દરખાસ્ત અને બીજામાં નાણાકીય દરખાસ્ત. બીડ સબમિટ કરવાની અંતિમ તારીખ 13 માર્ચ છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ પર કરાશે. મુંબઈમાં મેટ્રોની ટનલમાં મોબાઇલ નેટવર્કની સમસ્યામુંબઈ મેટ્રોના ભૂગર્ભમાં નેટવર્ક સમસ્યા આવી છે. ટેલિકોમ કંપનીઓની મર્યાદિત ભાગીદારી અને વાણિજ્યિક કરારના અભાવે કોલ ડ્રોપ, સેવા ન હોવી અને UPI પેમેન્ટ ફેલ જવા જેવી ફરિયાદો મળી રહી છે. ઘણા મુસાફરોને સ્ટેશન WiFi વાપરવા ફરજ પાડવામાં આવે છે.
મતગણતરીના અંતિમ પડાવમાં બાર કાઉન્સિલ ચૂંટણી:બીસીજી ચૂંટણીમાં અંતિમ 12 હજાર મત બાદ આજે પરિણામ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની ચૂંટણીની મત ગણતરી છેલ્લા ત્રણેક દિવસથી સતત ચાલી રહી છે અને હવે તે અંતિમ તબક્કે પહોંચી છે. બીસીજીના ચૂંટણી વિભાગના અધિકારીએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધી કુલ 34,279 મતની ગણતરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે અંદાજે 12 હજાર જેટલા મતોની ગણતરી બાકી છે. મત ગણતરી પૂર્ણ થયા બાદ આજે પરિણામ જાહેર થવાનું શરૂ થશે. ચૂંટણી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, શનિવારે એક દિવસમાં જ કુલ 18,754 બેલેટ ઉથલાવી તેની ગણતરી કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ 34,279 મતની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકી રહેલા અંદાજે 12 હજાર મતની ગણતરી રવિવારે પૂર્ણ થવાની શક્યતા છે. મતગણતરી પૂર્ણતા તરફ વધી રહી હોવાથી હવે ચૂંટણીના પરિણામ અંગે ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યું છે.
ચોટીલાના યુવકની રાજકોટ ગંજીવાડામાં સાસરિયે રહેતી બહેને તેના સસરા અને નણંદના ત્રાસથી છ દિવસ પૂર્વે આપઘાત કરી લેતા યુવકે થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. ચોટીલાના ભેટસુડા ગામે રહેતા અને ખેતીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા વિશાલભાઈ નનુભાઈ કુકડિયા(ઉં.વ.22)એ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગંજીવાડામાં રહેતા વશરામ ખીમજીભાઈ મકવાણા અને તેમની દીકરી આરતી મકવાણાના નામ આપ્યા હતા. વિશાલભાઈએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતે ચાર ભાઈ-બહેન છે. જેમાં સૌથી નાના બહેન છાયાબેનનું ગત તારીખ 9ના રોજ મરણ થયું છે. ગત તારીખ 23/04/2025ના રોજ તેની બહેન છાયાના લગ્ન રાજકોટ રહેતા રણજિત વશરામ મકવાણા સાથે સમાજની રીતરિવાજ મુજબ થયા હતા. દરમિયાન 6 દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. અગાઉ પણ તારીખ 21,22/02/2026ના રોજ તેમના કાકાના દીકરાના લગ્નમાં છાયાબેન આવેલા હતા ત્યારે તેણીએ તેની માતાને વાત કરી હતી કે, તેની નણંદ આરતી તથા સસરા તેના ઉપર અવારનવાર ઘરમાંથી વીંટી ચોરી લઈ ગઇ છો કહી ત્રાસ આપતા હતા. આ ઉપરાંત બહેનને માતાજીના માંડવામાં જવું ન હોય તેમ છતાં તેના સસરાએ પરાણે લઈ જઈ, તેણીને કલાક સુધી ફેરવી હતી જે બાબતે પિતા-પુત્ર વચ્ચે રાત્રે ઝઘડો થયો હોય જે વાત મોટી બહેન શીતલે પરિવારને જણાવતા આ અંગે થોરાળા પોલીસ મથકમાં બહેનને આપઘાત કરવા મજબૂર કરનાર સસરા અને નણંદ વિરુદ્ધ વિશાલભાઈએ ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ:રાજકોટમાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો’તો
શહેરના 40 ફૂટ રોડ પર ઓમનગર સર્કલ પાસે રહેતી સંગીતાબેન રમેશભાઈ મેરિયા (ઉ.વ.32)ની પરિણીતાએ પતિ રમેશભાઈ, સસરા વિનોદભાઈ નારણભાઇ, સાસુ મંજુબેન, જેઠ નરેશભાઈ અને દિલીપભાઈ સામે તાલુકા પોલીસ મથકમાં પોતાને માનસિક અને શારીરિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2014માં થયા છે અને સંતાનમાં દીકરો, દીકરી છે. ઘરમાં પૈસાનો વહીવટ મારા સાસુ-સસરા ચલાવે છે, ઘરમાં પૈસાની જરૂરિયાત હોય ત્યારે તેમની પાસેથી પૈસા માગવાના હોય છે. લગ્નના એકાદ વર્ષથી પતિ સાથે મનમેળ રહેતો ન હોય આથી ઝઘડા થતા હતા. પતિ જેઠ સાથે કામ કરતા તો જેઠ પાસે પૈસા માગતા ત્યારે જેઠ પૈસા આપતા નહોતા, જેઠ ભૂવા હોવાથી તેની રસોઈ બનાવવા માટે સાસુ માનસિક ત્રાસ આપતા હતા. પતિ મને કહેતા કે, તારા મા-બાપે મને મારા મા-બાપથી અલગ કર્યો છે કહી ઝઘડો કરી માર મારતા હતા અને હોળીમાં પતિ પાસે બાળકોની પિચકારી અને રંગ માટે પૈસા માગતાં મારી પાસે પૈસા નથી કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. તું મરી જા નહીંતર હું તને મારી નાખીશ તેમજ સાસુ અને બંને જેઠ રૂમમાં આવી જેમ ફાવે તેમ ગાળો આપતા હતા અને સસરા સહિતના મને ઘર છોડી જવાનું કહેતા કંટાળી તા.4ના ઘઉંમાં નાખવાના ટીકડાં પી લેતા મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે પરિણીતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે પતિ સહિત સાસરિયાં સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાપમોચિની એકાદશી:આજે ભગવાનને પીળું ફૂલ, પીળી મીઠાઇ ધરવાનું મહત્ત્વ
પંચાંગ પ્રમાણે આજે ફાગણ વદ અગિયારસને રવિવારે તા.15 માર્ચના રોજ પાપમોચિની એકાદશી છે. પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય, જીવનનાં અશુભ તત્ત્વોનો નાશ થાય, મનોકામના પૂર્ણ થાય, રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાનને સૂકોમેવો ધરાવવાનું મહત્ત્વ છે અને પીળું ફૂલ અર્પણ કરવાનું મહત્ત્વ રહેલું છે. દરેક એકાદશીનું કંઇકને કંઇક વિશેષ મહત્ત્વ રહેલું હોય છે ત્યારે વિધિવત આ વ્રત રહેવાથી પાપમોચિની એકાદશીનું પણ ખૂબ મહત્ત્વ છે. પાપમોચિની એકાદશીના દિવસે ઉપવાસ કરવો ઉત્તમ ગણાય અથવા તો એકટાણું કરવું. સવારના સ્નાન કરી અને બાજોઠ અથવા પાટલા ઉપર પીળું વસ્ત્ર પાથરવું અને તેના ઉપર ચોખાની ઢગલી કરી અને શ્રીકૃષ્ણ ભગવાનની છબી અથવા મૂર્તિ પધરાવી દીવો, અગરબત્તી કરવા. ભગવાનને પીળા ચંદનનો ચાંદલો, ચોખા કરવા પીળું ફૂલ અર્પણ કરવું. અબીલ, ગુલાલ, કંકુ પધરાવી અગરબત્તી દીવો અર્પણ કરવા. નૈવેદ્યમાં સૂકોમેવો તથા પીળા કલરની મીઠાઈ ધરવી, આરતી કરવી. ત્યારબાદ વિષ્ણુ ભગવાનના 108 કે 1008 નામ બોલવા અને એકાદશીની કથા વાંચવી. શક્ય હોય તો, બપોરે નિદ્રા કરવી નહી તથા રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. આમ વ્રત કરવાથી પાપનું મોચન થાય છે અને નવગ્રહ શાંતિ થાય છે. આ એકાદશીની કથાના બોધ અંગે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, આપણે મનુષ્ય છીએ તથા કળિયુગ હોવાથી ઘણીવાર કામ, ક્રોધ, મોહ થકી અનેક પાપ કર્મ થઈ જતા હોય છે. જેવા કે કોઈનું અહિત કરવું, બીજાનું ધન લઈ લેવું, કોઈની ખોટી મોહમાયામાં પડવું આમ આવા અનેક નાના મોટા પાપ, કર્મ થતા હોય છે, પરંતુ આ કરવાથી આપણા નવગ્રહ દોષિત થાય છે અને તેનું અશુભ ફળ ભોગવવું પડે છે. આથી ખ્યાલ રાખવો જોઈએ કે, આવા કર્મ ન કરવા અને ગીતા રામાયણના નિયમને અનુસરી જીવન જીવવું જોઈએ.
ધમકી:સોનાની લકી પરત માગતા મારવાડી કોલેજના વિદ્યાર્થીને મિત્રની ખૂનની ધમકી
રાજકોટ શહેરના જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય તેના જ મિત્રએ સોનાની લકી પરત માગવા જેવી સામાન્ય બાબતે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી આ બનાવ અંગે ફરિયાદન નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં, જયરાજ પ્લોટ 8/13 માં રહેતા મીત દીપકભાઈ શાહ(ઉં.વ.21) નામના યુવકે એ-ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મંથન મનીષભાઈ મુંધવા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા. 08 ના મીત શાહ પાસેથી મંથન મુંધવા સોનાની લકી પહેરવા માટે લઈ ગયો હતો. મીતે પોતાની લકી પરત માગતાં મંથને આનાકાની કરી હતી. અંતે મીતે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા મંથને લકી તો પરત આપી દીધી હતી, પરંતુ આ બાબતની દાઝ મનમાં રાખી હતી. શુક્રવારે મંથને મીતને ફોન કરીને ધમકાવતા કહ્યું હતું કે, “તે પોલીસ સ્ટેશન જવાની વાત કેમ કરી હતી? તું તારા ઘરની બહાર નીકળીને બતાવ, હું મારી ગાડી લઈને તારા ઘરની બહાર જ ઊભો છું.’ ગભરાયેલા મીતે આ અંગે તેના મોટાબાપુ અનિલભાઈને જાણ કરી હતી. જ્યારે મંથનનો ફરી ફોન આવ્યો ત્યારે સ્પીકર પર વાત કરવામાં આવી હતી. આ સમયે પણ મંથને બેફામ ગાળો ભાંડી ધમકી આપતા કહ્યું હતું કે, “હવે ઘરની બહાર આવ, તને જીવતો નહીં છોડું અને તારા બહુ ખરાબ હાલ કરીશ.’ ગભરાયેલા યુવકે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં બોટાદના નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવવાના ગુનામાં ઝડપાયેલી મોરબીની પાયલ પટેલ, નિલેશ ભરવાડ અને કમલેશ મહેતાની ટોળકી સામે વધુ બે ઠગાઈના બનાવો બહાર આવ્યા છે. ટોળકીએ એક ભૂવાને માતાજીની માનતા પૂરી કરવાના બહાને અને એક ખેડૂતને દવાખાનું અને મેડિકલ શરૂ કરાવવા બહાને કુલ રૂ.36.69 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાદમાં ઉઘરાણી કરતા રેપની ખોટી ફરિયાદ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રથમ બનાવમાં પડધરીના બાઘી ગામે રહેતા ખોડીદાસ છોટુભાઈ જાદવ (ઉ.વ.46)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં બગસરાની પાયલ ભાવિન પટેલ અને પડધરીના નારણકા ગામે રહેતા નિલેશ ઝુંઝા ભરવાડને આરોપી બનાવ્યા છે. ફરિયાદ મુજબ નિલેશ ભરવાડને ફરિયાદી નાનપણથી ઓળખતા હોવાથી તેણે પાયલ પટેલ સાથે ઓળખાણ કરાવી હતી. પાયલ પટેલે દવાખાનું અને મેડિકલ શરૂ કરવા પૈસાની જરૂર હોવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. આરોપીઓએ નોટરાઈઝ રૂ.300ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી ફરિયાદી પાસેથી રૂ.10 લાખ તેમજ અન્ય રૂ.5 લાખ રોકડા અને રૂ.15 લાખ ફરિયાદીના દીકરા તથા મિત્ર મારફતે ઓનલાઇન ટ્રાન્સફર કરાવી કુલ રૂ.30 લાખ મેળવી લીધા હતા. બાદમાં ફરિયાદીએ નાણાં પરત માગતાં પાયલ પટેલે બંને વચ્ચે થયેલી વાતચીતના કોલ રેકોર્ડિંગ ફરિયાદીના ઘેર અને ગામમાં વાઇરલ કરી બન્નેના સંબંધ અંગે બદનામ કરવાની તથા રેપની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. બીજા બનાવમાં પડધરીના નવા નારણકા ગામે રહેતા લાલજીભાઈ હરિભાઈ રોજમાળાએ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી પાયલ ભાવિન પટેલ અને સુરતના કમલેશ પ્રવીણ મહેતા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પાયલ પટેલે ફોન કરી ફરિયાદીને તમે માતાજીના ભૂવા છો, અમારે માનતા કરવા આવવું છે તેમ કહી કમલેશ મહેતાની ફોર વ્હિલ કાર નં. GJ-14-BD-6869માં તેમના ઘરે આવી હતી. બાદમાં વારંવાર ફોન અને વોટ્સએપ મેસેજમાં મીઠી વાતો કરી વિશ્વાસમાં લઈ પૈસાની જરૂરિયાત હોવાનું કહી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે રૂ.7.74 લાખ પડાવ્યા હતા. તેમાંથી રૂ.1.05 લાખ પરત આપ્યા બાદ બાકીના રૂ.6.69 લાખ પરત ન આપતા ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીએ બંને વચ્ચે થયેલી વાતચીતના કોલ રેકોર્ડિંગ અને વોટ્સએપ મેસેજ ગામમાં વાઇરલ કરી દેવાની તેમજ રેપની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત શાહેદ રમેશ વાલજીભાઈ બેડિયા પાસેથી પણ રૂ.2.50 લાખ પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે બન્ને બનાવોમાં અલગ અલગ ગુનાઓ નોંધી પાયલ પટેલ સહિત ત્રણ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનને લઈને ઊભેલા સંશોધનપત્ર કાંડમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. વિવાદમાં સપડાયેલા અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડો.કમલ મેહતાએ બે દિવસ પહેલાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ સ્ટડીઝમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, જર્નલમાં જૂની તારીખે પ્રકાશિત થયેલા પોતાના કથિત સંશોધનપત્રો પણ વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ જર્નલના તમામ એડિટરોને પણ દૂર કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ફરિયાદ કરનાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.નિદત બારોટે તીખી પ્રતિક્રિયા આપતા સવાલ ઉઠાવ્યો છે કે, જો કમલ મેહતા ખરેખર નિર્દોષ હોય તો પછી જર્નલમાંથી સંશોધનપત્રો દૂર કેમ કરાયા? તેમણે જણાવ્યું હતું કે કમલ મેહતાએ અગાઉ તેમના પર આરોપ મૂક્યો હતો કે, આ ફરિયાદ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવી છે, પરંતુ હવે હકીકત સામે આવી રહી છે. ડો. બારોટે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તામંડળમાં રહેવા માટે ચોક્કસ સંખ્યામાં સંશોધનપત્રો હોવા જરૂરી હોય છે. કમલ મેહતાએ જે સંશોધનપત્રોના આધારે પોતાની લાયકાત દર્શાવી હતી તે હવે જર્નલ પરથી ગાયબ થઈ ગયા છે. જેના કારણે તેઓ સત્તામંડળમાંથી બહાર થઈ ગયા છે અને હવે બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચનામાં પણ ફેરફાર થયો છે. આ ઘટનાએ યુનિવર્સિટીના શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. સંશોધનપત્રોની તારીખ અને પ્રકાશન અંગે ઉઠેલા સવાલો વચ્ચે જર્નલની આખી રચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તમામ એડિટરોને હટાવીને હવે નવું એડિટોરિયલ બોર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વિગતો જર્નલની વેબસાઈટ પર પણ જોવા મળે છે. ડો.બારોટે વધુમાં કહ્યું હતું કે, તેમને પહેલેથી જ વિશ્વાસ હતો કે આખરે “દૂધનું દૂધ અને પાણીનું પાણી” થઈ જશે અને હવે હકીકત ધીમે ધીમે બહાર આવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હજુ સુધી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી નથી કારણ કે, તેમની ઈચ્છા કોઈ અધ્યાપકને કોર્ટ અને વકીલોના ધક્કા ખવડાવવાની નથી. પરંતુ જો જરૂર પડશે તો આગળ કાનૂની પગલાં લેવાની સંભાવના પણ નકારી શકાય નહીં. આ સમગ્ર પ્રકરણને લઈને હવે યુનિવર્સિટીના શૈક્ષણિક અને પ્રશાસનિક વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે જો બધું સાચું હતું તો પછી સંશોધનપત્રો અચાનક ગાયબ કેમ થયા?
જીવલેણ હુમલો:રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો
લોધેશ્વર સોસાયટીમાં રહેતો અને મજૂરીકામ કરતો શૈલેષ ધનસીંગભી જરિયા (ઉ.વ.30)નો રાત્રિના દશેક વાગ્યે ઘર પાસે મોટાભાઈ સાથે બેઠો હતો. ત્યારે પાડોશમાં રહેતો અર્જુન ઉર્ફે મેરિયો ત્યાં આવી જૂની માથાકૂટનો ખાર રાખી ગાળો આપવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાયો હતો અને નેફામાંથી છરી કાઢી હુમલો કરતા પેટના ભાગે ઘા લાગી ગયો હતો. દેકારો થતા શખ્સે જતા જતા આજે તો તને મારી જ નાખવો છે તેમ ધમકી આપી હતી. યુવકને લોહી નીકળતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શૈલેષને અગાઉની માથાકૂટ થઇ હોય તેનો ખાર રાખી અર્જુન ઉર્ફે મેરિયાએ છરી ઝીંકી હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
SOGની કાર્યવાહી:ડ્રાઇવિંગનો ધંધો કરતો લાપાસરી ગામનો શખ્સ બે દેશી પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારો સામે કાર્યવાહી દરમિયાન એસઓજીએ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા એક લોહાણા શખ્સને બે દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઇ રૂ.31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ શહેર એસઓજીનો સ્ટાફ શનિવારે બપોરે પેટ્રોલિંગમાં હતો ત્યારે રણુજા–લાપાસરી રોડ પર ફલોરેન્સ પાર્ટી પ્લોટ પાસે જાહેરમાં ઊભેલા એક શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સંજય ભીખુ ભૂપ્તા નામના શખ્સને કોર્ડન કરી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન આરોપીના કબજામાંથી દેશી બનાવટની બે પિસ્તોલ, એક મેગેઝિન, પાંચ જીવતા કારતૂસ અને વીવો કંપનીનો મોબાઇલ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.31 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજય ભીખુ ભૂપ્તા કોઠારિયા મેઇન રોડ પર ઓમ રેસિડેન્સીમાં રહેતો હોવાનું અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી આ ગેરકાયદે પિસ્તોલ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આરોપી ગેરકાયદે હથિયારની હેરાફેરીના રેકેટ સાથે તો સંકળાયેલો નથીને કે કોઇ ગુનો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો કે કેમ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે આરોપીને રિમાન્ડ પર લેવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના પ્રશ્નોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે એટલે કે 15 માર્ચ 2026ના રોજ દહેગામ નગરપાલિકા દ્વારા આયોજિત કરોડોના વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટી પડી સાંસદ સમક્ષ સીધી રજૂઆત કરવાની તૈયારીમાં છે. ચાલો દહેગામના નારા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરોએ અત્યારે સમગ્ર તાલુકામાં ભારે ચર્ચા જગાવી છે. પશુપાલકો પડતર પ્રશ્નો મુદ્દે સાંસદને રજૂઆત કરશેદહેગામના અમદાવાદ રોડ પર આવેલા ઓડા ગાર્ડન ખાતે અંદાજિત રૂ. 93.96 કરોડના વિકાસ કામોના લોકાર્પણ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ હસમુખભાઈ સોમાભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમને પશુપાલકોએ પોતાના પડતર પ્રશ્નો વાચા આપવા માટેના મંચ તરીકે પસંદ કર્યો છે. દૂધ સ્વીકારવાની પ્રક્રિયા, અન્યાયી ભાવ અને પશુપાલકોની અન્ય મુશ્કેલીઓ લાંબા સમયથી વણઉકેલી હોવાથી ખેડૂત આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાદ નહીં, વિવાદ નહીં માત્ર મધુર સિવાય વાત નહીંત્યારે વાયરલ થયેલા આમંત્રણ પત્રિકા મુજબ, પશુપાલકોને યથાશક્તિ દૂધ સાથે કાર્યક્રમ સ્થળે પહોંચવા અપીલ કરવામાં આવી છે. વાદ નહીં, વિવાદ નહીં માત્ર મધુર સિવાય વાત નહીં અને ખેડૂત પશુપાલક એકતા જિંદાબાદ જેવા સૂત્રો સાથે આ લડતને મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે એક તરફ કરોડોના વિકાસ કામોની ઉજવણી છે, તો બીજી તરફ પશુપાલકોનો આ સંઘર્ષ જે આજે કાર્યક્રમમાં કેવો વળાંક લે છે તે જોવું રહ્યું.
દુબઇમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના 141મા માળે આખા ફ્લોરમાં બનેલી ઓફિસ....50 કિલોમીટર દૂર 80 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું વિશાળ ફાર્મ હાઉસ....ફાર્મ હાઉસમાં 11 બેડરૂમ, 4 હોલ....11 લક્ઝુરિયસ કાર.... આ જાહોજલાલી એક એવા ભારતીય પરિવારની છે જે 11 વર્ષ પહેલાં દુબઇ સ્થાયી થયો છે. મૂળ રાજસ્થાનના મારવાડી જૈન પરિવારમાં જન્મેલા અને છેલ્લી 7 પેઢીથી મહારાષ્ટ્રના માલેગાંવ અને પુનામાં રહેતાં ધીરજ જૈન દુબઇમાં સ્ટાર્ટ અપમાં રોકાણ કરે છે અને રિયલ એસ્ટેટ ડેવલપરનો ધંધો પણ કરે છે. તેઓ જુમેરા-1 નામની બિલ્ડિંગમાં રહે છે. ઇરાને દુબઇ પર હુમલો કરતાં ત્યાં ગુજરાતીઓ સહિત ઘણા ભારતીયો અને વિદેશી નાગરિકો ફસાઇ ગયા હતા. ધીરજ જૈને ફસાયેલા લોકો માટે પોતાનું ફાર્મ હાઉસ ખુલ્લું મૂકી દીધું હતું. તેમણે લોકો માટે ફક્ત રહેવા-જમવાની વ્યવસ્થા જ નહીં પણ હોટલથી લાવવા માટે વાહનની સુવિધા અને બીમાર લોકોને દવા પણ પૂરી પાડી હતી. યુદ્ધના કારણે લોકોની માનસિક સ્થિતિને ધ્યાને રાખીને કાઉન્સેલિંગની સેવા પણ આપી હતી. આમ દુબઇમાં પણ એક પ્રકારનું મિની ઇન્ડિયા ઊભું કર્યું હોવાની સ્થિતિ સર્જી દીધી હતી. લોકોએ અહીંથી છૂટા પડતી વખતે આંખમાં આંસુ સાથે વિદાય લીધી હતી. દિવ્ય ભાસ્કરે ધીરજ જૈન અને તેમના ફાર્મ હાઉસમાં રોકાયેલા એક ભારતીય નાગરિક સાથે વાતચીત કરી હતી. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો તેમની સંવેદનશીલતાની વાત. હુમલો થયો અને ફાર્મ હાઉસ ખૂલ્લું મૂકવાનો વિચાર આવ્યોઇરાને જ્યારે પહેલીવાર દુબઇ પર હુમલો કર્યો ત્યારે મોબાઇલ પર એલર્ટ આવ્યું હતું કે દુબઇમાં ડ્રોન અને મિસાઇલ હુમલા થઇ રહ્યાં છે. આ સમયે ધીરજ જૈન બુર્જ ખલીફામાં આવેલી પોતાની ઓફિસમાં હતા. તેમણે ઓફિસમાં બેસીને જ હુમલા અંગેની વિગતો મેળવી હતી. આના પછી તેઓ સાંજે 6:30 વાગ્યે ઘરે પહોંચ્યા હતા. હુમલાના લીધે સર્જાયેલી પરિસ્થિતિનો તેમને ખ્યાલ આવી ગયો હતો. ધીરજ જૈને દુબઇમાં ફસાયેલા લોકો માટે કંઇક કરવાનું વિચારી લીધું હતું. તેમને આઇડિયા આવ્યો કે અંદાજે 2 એકરમાં ફેલાયેલું મારૂં ફાર્મ હાઉસ હું લોકોની સેવા માટે ખૂલ્લું મૂકી દઉં તો કેવું રહે? 11 દિવસ સુધી ફાર્મ હાઉસમાં રહ્યાંતેમણે પોતાના વિચારનો તરત જ અમલ કર્યો અને રાત્રે 9:30 વાગ્યા આસપાસ એક મેસેજ બનાવ્યો અને ફોરવર્ડ કરવા લાગ્યા. મેસેજમાં હતું કે જેને કોઇ તકલીફ હોય તે મારા ફાર્મ હાઉસ પર આવી શકે છે. ધીરજ જૈન અને તેનો પરિવાર સતત 11 દિવસ સુધી ફાર્મ હાઉસમાં રહ્યાં હતા અને લોકોને મદદ પૂરી પાડી હતી. કોમ્યુનિટી ગ્રુપ્સમાં મેસેજ ફોરવર્ડ કર્યાંધીરજ જૈને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, દુબઇમાં ત્યારે ભયનું વાતાવરણ ફેલાયેલું હતું. મેં મહારાષ્ટ્રીયન, રાજસ્થાની, જૈન અને ભારતીય વગેરે જેવા અલગ અલગ કોમ્યુનિટી ગ્રુપ્સમાં મેસેજ મોકલ્યાં હતા. મારો મેસેજ ઇન્ડિયન કોન્સ્યૂલેટ સુધી પણ પહોંચ્યો હતો. જ્યારે લોકો ઇન્ડિયન કોન્સ્યૂલેટને ફોન કરતાં કે અમે દુબઇમાં અટવાયેલા છીએ અને મદદની જરૂર છે ત્યારે કોન્સ્યૂલેટ તરફથી પણ અમારો નંબર અપાતો હતો. તેમના ફાર્મ હાઉસ પર 700થી 1 હજાર લોકોની વ્યવસ્થા થઇ શકે તેમ હતી. તેમનું ફાર્મ હજુપણ લોકો માટે ખૂલ્લું જ છે અને હજુપણ લોકો આવી રહ્યાં છે. 10 હજાર લોકો જમી શકે તેટલું અનાજ લાવ્યાતેઓ કહે છે કે, મારી પાસે ફાર્મ હાઉસ પર 100 મેટ્રેસીસ હતા અને મને અંદાજ હતો કે વધારે જરૂર પડશે એટલે અમે તૈયાર જ હતા. અમે 500 મેટ્રેસીસ લઇ આવ્યા અને 700 બ્લેન્કેટ લઇ આવ્યા. 10 હજાર લોકો ભોજન કરી શકે તેટલાં અનાજનો અમે ઓર્ડર આપીને અહીંયા લઇ આવ્યા હતા.મેં અત્યારે પણ બધાંને કહ્યું છે કે ફરીવાર પેનિક થાય તો મારું સરનામું અને મારો નંબર બધાંને ખબર જ છે. 25 લોકોનો સ્ટાફ સેવામાં લાગી ગયોકુલ 300થી 350 લોકો તેમના ફાર્મ હાઉસ પર રોકાયા હતા. જેમાંથી કેટલાક લોકો એક દિવસ તો કેટલાક 3 દિવસ સુધી રોકાયા હતા કારણ કે તેમની ટિકિટ બૂક નહોતી થતી. ઘણાં લોકો 6-7 દિવસ સુધી રોકાયા હતા. ધીરજ જૈન પાસે કુક વગેરે મળીને કુલ 25 લોકોનો સ્ટાફ હતો. તેમણે પોતાની ઓફિસના કર્મચારી અને મિત્રોને મેસેજ કરીને ફાર્મ હાઉસ પર લોકોની સેવા માટે બોલાવી લીધા હતા. કોઇ પાસેથી એકપણ રૂપિયો નથી લીધોવ્યવસ્થાની વાત કરતાં તેમણે કહ્યું કે, રહેવા માટે જગ્યા અને ખાવાનું ફ્રી હતું. અમે હોટલથી લાવવા તેમજ એરપોર્ટ પર ડ્રોપ પણ કરી આવતાં હતા. તેના માટે મારી 11 કાર પણ લોકોની સેવામાં મૂકી દીધી હતી. તે પણ 100% ફ્રી હતું. અહીંયા કોઇની પાસે એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી. અમે કોઇ સામાજિક સંસ્થા, સરકાર કે કોઇની પાસેથી એક રૂપિયો લીધો નથી. બધો ખર્ચો અમે અમારા ખિસ્સાંમાંથી જ કર્યો છે. અમારે માત્ર સેવા કરવી હતી. સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી લોકોની સેવામાંધીરજ જૈન અને તેનો પરિવાર ટેન્ટમાં રહેતાં લોકો સાથે ટેન્ટમાં જ સૂઇ જતો. તેઓ કહે છે કે, અમારે એ લોકોને એવો અહેસાસ કરાવવો નહોતો કે તમે ઇન્ડિયાની બહાર ક્યાંય અટવાયા છો. લોકોની સેવા માટે અમે સવારે 6 વાગ્યે ઊઠી જતાં હતા અને રાત્રે 12 વાગ્યે સૂતા હતા. અમારા બાળકોએ પણ લોકોની સેવા કરી હતી. કોઇ ગેસ્ટે તો એવું કહ્યું હતું કે અમે ટુરિસ્ટ બનીને આવ્યા હતા પણ ફેમિલી બનીને જઇ રહ્યાં છીએ. ફાર્મ હાઉસમાં રોકાયેલા લોકોને સવારે બ્રેક ફાસ્ટ, બપોરે લંચ, સાંજે ટી અને રાત્રે ડિનર આપવામાં આવતું હતું. આ ઉપરાંત સવારે મેડિટેશન અને યોગ કરાવતાં હતા. બપોરે ફૂટબોલ, બેડમિન્ટન અને ક્રિકેટ જેવી ગેમ્સ રમાડતાં હતા. સાંજે બધાં સાથે મળીને મૂવી જોતા હતા. દુબઇમાં આવું થશે તેની કલ્પના પણ નહોતીઃ ધીરજ જૈનતેમણે કહ્યું કે, અમે ઇન્ડિયા-પાકિસ્તાન, ઇન્ડિયા- ઇંગ્લેન્ડ, ઇન્ડિયા-ન્યૂઝિલેન્ડ મેચ પણ લોકો સાથે મળીને જોઇ હતી. આ બધું કરવાનું કારણ એ હતું કે લોકો અહીંયા પેનિક સિચ્યુએશનમાં આવ્યા હતા. ઉપર આકાશમાં ડ્રોન અને મિસાઇલ ફૂટતાં હતા. દુબઇમાં આવું કંઇ થાય તેવી ક્યારેય કલ્પના પણ કરી નહોતી. આમાંથી ઘણાં બધાં તો પહેલી વખત ઇન્ડિયા છોડીને ઇન્ટરનેશનલ ટૂર પર નીકળ્યાં હતા. અહીં આવેલા લોકો માટે 3 અલગ અલગ હોસ્પિટલના કેમ્પ પણ કરાવ્યા હતા. રાઇટ હેલ્થ, બી.એન.સિંહા અને NMC એમ 3 હોસ્પિટલોએ તેમના ખર્ચે અહીંયા કેમ્પ કર્યાં હતા. લોકોનું મેડિકલ ચેકઅપ કરીને જરૂરી દવાઓ પણ તેમને આપી હતી. કેટલાંક પેસેન્જર 7 કે 8 દિવસની બી.પી. અને ડાયાબિટીસની દવા લઇને આવ્યા હતા. તેમની દવા પૂરી થઇ ગઇ હતી. જેથી એ જ દવા પણ તેમને લાવીને આપી હતી. લોકોનું કાઉન્સેલિંગ કર્યુંતેઓ આગળ કહે છે કે, અમે બે પ્રકારના પ્રશ્નોનો સામનો કર્યો હતો. જેમાં એક પેનિક સિચ્યુએશન હતી, લોકો રડી રહ્યાં હતા. ઇન્ડિયાથી લોકોના ફોન આવતાં હતા. અમારે કાઉન્સેલિંગની જરૂરિયાત હતી. અમે તો કાઉન્સેલિંગ કરી જ રહ્યાં હતા પરંતુ અમે બહારથી પણ કેટલાક કાઉન્સેલર બોલાવ્યા. સ્વૈચ્છિક રીતે કેટલાંક લોકો અહીંયા આવ્યા અને તેમની સાથે વાત કરી અને તેમને ગેમ્સમાં ઇનવોલ્વ કર્યા તો લોકો આ પેનિકમાંથી બહાર નીકળવા લાગ્યાં હતા. કરોડપતિ લોકો મિત્રો સાથે ટેન્ટમાં રહેવા આવ્યાવધુમાં તેમણે જણાવ્યું કે, મારી પાસે 2 કેટેગરીના લોકો હતા. એક એવા પ્રકારના લોકો હતા જેમની પાસે પૈસા નહોતા, લિમીટેડ બજેટ લઇને આવ્યા હતા. તે હોટલમાં વધુ રોકાઇ શકે તેમ નહોતા, તેમની ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી શકતાં નહોતા. બીજી એવી કેટેગરી હતી. જેમાં 30 જણાંનું તેમજ 50 જણાંનું ગ્રુપ હતું. 2-4 જણાં મલ્ટિ મીલિયોનર હતા પરંતુ તેમના મિત્રો એફોર્ડ કરી શકતા નહોતા. તે લોકો અહીંયા ટેન્ટમાં રહેવા આવ્યા હતા. 'મલ્ટિ મીલિયોનર લોકોએ ઇન્ડિયા રિટર્ન જવાની ફ્લાઇટનું બૂકિંગ ના કરાવ્યું કે ન તો તેઓ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા. તેમની પાસે પૈસા હતા. તેમના ઘરના લોકોનું દબાણ પણ હતું કે તમે આવી જાવ, અમે તમારા માટે ચાર્ટર્ડ ફલાઇટ કરાવીએ છીએ પણ તેમણે તેમના મિત્રો સાથે જ રહેવાનું પસંદ કર્યું.' ધીરજ જૈને કહ્યું કે,મેં પર્સનલી એક જણાંને રોકડમાં મદદ કરી છે. કેટલાક લોકોએ પણ પોતાની રીતે બીજા લોકોને મદદ કરી હતી. ભારતનો અમીર પરિવાર મિત્રો સાથે અહીં ફરવા આવ્યો હતો. જેમાંથી 4-5 લોકોની ટિકિટ બાકી હતી તો આ પરિવારે તેમની ટિકિટ કરાવી દીધી હતી. લોકોએ રડતાં-રડતાં વિદાય લીધીઅહીં 4 લોકો એવા આવ્યા હતા જે 11-12 દિવસ તો પોતાની રીતે હોટલમાં રોકાયા પણ પૈસા પૂરા થઇ જતાં તેમને ઇન્ડિયન એમ્બેસીએ ધીરજ જૈનનો નંબર આપ્યો હતો. અહીંથી જતી વખતે લોકોએ ભીની આંખે વિદાય લીધી હતી. તેઓ જણાવે છે કે, ઘણા લોકો જતાં રહ્યાં છે. જતી વખતે ઘણાં લોકો રડતાં રડતાં ગયા છે. હું મારા શબ્દોમાં તેને વર્ણવી ન શકું. તે લોકોએ અમને ભગવાન જેવા ગણાવ્યા, દેવદૂત કહ્યાં પણ અમે બહુ નાના છીએ. આ રીતની ઉપમા અમારે જોઇતી નથી. અહીંયા જે પરિવાર રહ્યાં હતા. તે ઇન્ડિયામાં અમારા બાળકોના લગ્નમાં તો આવશે જ. બધાંએ અમને એવું પણ કહ્યું છે ભારત આવો તો એક મિનિટ માટે પણ અમારા ઘરે આવવાનું છે. ફાર્મ હાઉસથી 17 કિલોમીટર દૂર બ્લાસ્ટ થયો હતોઆ ફાર્મ હાઉસથી 17 કિલોમીટર દૂર ફૂઝેરામાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. જેની તીવ્રતા એટલી હતી કે ફાર્મ હાઉસની જમીન હલી હોય તેવો અનુભવ થયો હતો. જોરદાર અવાજ પણ સંભળાયો હતો. ધીરજ જૈન કહે છે કે, અહીંયા કોઇ હુમલો થયો નથી કે ફાર્મ હાઉસને પણ કોઇ નુકસાન થયું નથી. અમે વ્યક્તિગત કશું જોયું નથી પણ અહીંયા જે લોકો આવ્યા તેમાંથી ઘણાં લોકોએ મિસાઇલ અને ડ્રોનનો હુમલો જોયો હતો. અમે જુમેરામાં ઘરે હતા ત્યારે ગેલેરીમાંથી ડ્રોન હવામાં પસાર થતાં જોયાં હતા. ફટાકડાં ફૂટતાં હોય તેવા અવાજો અમે ઘણાં સાંભળ્યાં હતા. મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા ગોવિંદસિંહ રાજપૂત આ ફાર્મ હાઉસમાં રોકાયા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાનો અનુભવ જણાવ્યો હતો. AIએ ધીરજ જૈનનો નંબર આપ્યોગોવિંદસિંહ કહે છે કે, હું અહીંયા ફરવા અને મિત્રોને મળવા આવ્યો હતો. હુમલા બાદ મારી ટિકિટ કેન્સલ થઇ ગઇ હતી. જેથી હું પરેશાન થઇ ગયો હતો. મેં ગૂગલમાં ધીરજ જૈનનો નંબર સર્ચ કર્યો તો AIએ મને સીધો જ તેમનો નંબર આપી દીધો. મેં તેમને ફોન કર્યો તો તેમણે લોકેશન આપીને અહીં આવી જવા માટે કહ્યું હતું. મેં ટેક્સી બૂક કરાવી હતી. મારી પાસે વધારે પૈસા નહોતા પણ ટેક્સીવાળો 45 દિરહામ લઇને મને અહીં ફાર્મ હાઉસ પર ઉતારી ગયો હતો. ગોવિંદસિંહ જ્યારે ફાર્મ હાઉસ પર પહોંચ્યા ત્યારે ધીરજ જૈને તેમને રૂમ આપ્યો હતો, ખાવા-પીવાનું અને વાઇફાઇ પણ આપ્યું હતું. તેઓ કહે છે કે, અહીં મને બધી સુવિધા પૂરી મળી હતી. માનસિક, શારીરિક અને આર્થિક એમ બધી રીતે અમે બહુ હેરાન થઇ ગયા હતા. અહીંયા આવીને રાહત મળી છે. ગોવિંદસિંહે અટવાયેલા લોકોને ધીરજ જૈનનો સંપર્ક કરવાની પણ અપીલ કરી છે.તેમણે કહ્યું કે, અહીંયા ફક્ત ભારતીયોને જ નહીં પરંતુ અન્ય દેશના લોકોને પણ આશ્રય અને સુવિધા મળી રહ્યાં છે. ધીરજ જૈન બહુ સારું કામ કરી રહ્યાં છે. આ તો મારું સૌભાગ્ય છે કે એક દિવસ પહેલાં જ મે તેમનો વીડિયો જોયો હતો. તેમના વિશે જાણવા મળ્યું હતું. નહીં તો હું અહીંયા સુધી પહોંચી શક્યો નહોત. મેં ફેસબૂક પર વીડિયો બનાવીને નાંખ્યો છે કે જે લોકો અહીં અટવાયેલાં છે તે લોકો સંપર્ક કરે. અહીંયા ખાવા, પીવાનું તો ઠીક પણ કોઇ કહે કે ફરવા માટે ગાડી જોઇએ છે તો તે પણ આપે છે. હું તેમનો દિલથી આભાર માનું છું.
એક તરફ ગેસના બાટલાની અછત સર્જાઈ રહી છે ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોધિકા તાલુકાના પારડી ગામે શીતળા મંદિર ચોક પાસે સોનુ ગેસ એજન્સી એન્ડ રિપેરિંગ નામની દુકાનમાંથી શાપર પોલીસે કાળાબજાર કરવા સંગ્રહ કરેલા એલ.પી.જી. ગેસના ભરેલા બાટલાઓ, નળી, રેગ્યુલેટર, વજનકાંટો સહિતની કુલ રૂ.80600ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ બિહારના અને રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં રહેતો રવિરંજન કમલકિશોર બિંદ અને રાજીવ કમલકિશોર બિંદ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે, પોલીસને મળેલી બાતમી અનુસાર પારડી ગામે શીતળા માતાજીના મંદિર નજીક આવેલી એક દુકાનમાં ગેસ એજન્સીના નિયમોનો ભંગ થતો હોય, દુકાનમાં ગેસ એજન્સી અને રિપેરિંગનું બોર્ડ મારેલું હોય પણ અંદર કોઈ પણ જાતના લાઇસન્સ વગર લોકોની જિંદગી જોખમાઈ એ રીતે ગેસના બાટલા રીફિલ કરવાનું કામ શરૂ હતું. જે બાતમીના આધારે રૂબરૂ જોઈ તપાસતા પોલીસે દુકાનના માલિક રવિરંજન અને રાજીવની પૂછપરછ કરતા તેઓની પાસે કોઈ પણ જાતનું લાઇસન્સ ન મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનમાંથી પોલીસે એલપીજીના 15 કિ.ગ્રા.ના 6 નંગ બાટલા, 4 કિ.ગ્રા.ના 7 નંગ બાટલા, 7 નંગ ખાલી બાટલા, એલ.પી.જી.ના 3 કિ.ગ્રા.ના 34 નંગ બાટલા, ખાલી બાટલા 34 નંગ, ઈલેક્ટ્રિક વજનકાંટો, ગેસ રિપેરિંગ કરવા માટેની નળીઓ, રેગ્યુલેટર બાદમાં નજીકની બીજી દુકાનમાં જોવા જતા 15 કિ.ગ્રા.ના 9 નંગ બાટલા, 12 કિ.ગ્રા.ના 3 નંગ બાટલા, 19 કિ.ગ્રા.નો 1 નંગ બાટલો, 4 કિ.ગ્રા.ના 6 નંગ ભરેલા બાટલા, 5 કિ.ગ્રા.ના ખાલી 9 નંગ બાટલા એમ કુલ ખાલી અને ભરેલા 116 જેટલા બાટલા કબજે કરી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. પીએનજી ઉપયોગકર્તાને એલપીજી સિલિન્ડર આપવું ગુનો બનશેકેન્દ્ર સરકારે કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે, તા.14 માર્ચથી કોઇપણ ગેસ એજન્સી સંચાલક પીએનજી ઉપયોગકર્તાને એલપીજીનું સિલિન્ડર આપશે તો હવે લેનાર અને વેચનાર બંનેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતની તમામ એજન્સીના સંચાલકોને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. ઉપરાંત એજન્સીઓમાં ચેકિંગ પણ કરવામાં આવશે. રી-ફિલિંગ કરતા તત્ત્વો પર પણ નજર રાખવામાં આવશે. પુરવઠા વિભાગ ઉપરાંત પોલીસને પણ તાકીદ કરવામાં આવી છે કે, યુદ્ધની સ્થિતિ છે ત્યારે એલપીજી ગ્રાહકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સમયાંતરે ચેકિંગ કરવું તેમજ રી-ફિલિંગ સંદર્ભે પણ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટની પોક્સો અદાલત દ્વારા 7 વર્ષની બાળકી પર શારીરિક શોષણ અને બીભત્સ સામગ્રી બતાવવાનો આરોપી અલ્પેશ વાલજીભાઈ લાણિયાને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજા સાથે જ, ભોગ બનેલી બાળકીને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 6-3-2021ના રોજ એક મહિલાએ ફરિયાદ લખાવેલ કે, તેમની સાત વર્ષની બાળકી મોબાઈલમાં બીભસ્ત ફોટા વીડિયો જોતી હોય ત્યારે તેણી જોઈ જતા બાળકીને પૂછતા કે તું શું કરે છે તો બાળકીએ જણાવેલ કે તેમની બાજુમાં રહેતા અને જેને મામા તરીકે સંબોધતા અલ્પેશ વાલજીભાઈ લાણિયાએ આવું જોવાનું શીખવાડેલ છે અને તેને ડિલીટ કરવાનું શીખવાડેલ છે. વધુમાં બાળકીએ એવું પણ જણાવેલ કે, તેણી જ્યારે રમતી હોય ત્યારે બાજુમાં રહેતા અલ્પેશ મામા તેણીને તેના ઘરમાં લઈ જઈ તેણીની ઉપર સૂઈ જઈ તેણીના શરીરે હાથ ફેરવી શારીરિક અડપલાં કરતા હતા. જેના પગલે બાળકીની માતાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ વાલજીભાઈ લાણિયા (રહે. વાવડી ગામ પાસે, ઓમ સુપર માર્કેટ પાછળ, મૂળ રહે.ચુડા જિલ્લો સુરેન્દ્રનગર) વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ તાલુકા પોલીસે આરોપી અલ્પેશ લાણિયાની ધરપકડ કરી જેલહવાલે કર્યો અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસ ચાલી જતા સરકારી વકીલ મુકેશ પીપળિયા દ્વારા આ કેસના ફરિયાદીની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી હતી. આ કામના ભોગ બનનાર 7 વર્ષની બાળકીની વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરમાં જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત તબીબ અને તપાસનીશ અધિકારીની જુબાની લેવાઇ હતી. આમ સરકાર પક્ષે રજૂ કરેલા આધાર-પુરાવાઓ ધ્યાને લઇ સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટએ આરોપીને 5 વર્ષની સખત કેદની સજા કરી છે અને ભોગ બનનાર બાળકીને વિક્ટિમ કમ્પોઝિશન અન્વયે રૂપિયા બે લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.
સન્ડે બિગ સ્ટોરી:જ્યાં એક પણ બસ જતી નથી ત્યાં બસ સ્ટેન્ડ બનાવાયા!
રાજકોટ નજીક સ્માર્ટ સિટી બનાવવામાં આવ્યું છે. તેમાં અત્યાર સુધીમાં અંદાજે 2500 કરોડનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. અટલ નામનું સરોવર પણ બનાવવામાં આવ્યું છે. અટલ સરોવર અને તેને જોડતા મુખ્ય માર્ગો પર સ્માર્ટ બસ સ્ટેન્ડ બનાવાયા છે. કુલ 15 બસ સ્ટેન્ડ સાડા ચાર કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે. વર્ષ 2022-23માં બસ સ્ટેન્ડ બનાવવાનું શરૂ થયું હતું. માર્ચ-2024માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સ્માર્ટ સિટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને 1 મે 2024ના રોજ લોકો માટે 15 બસ સ્ટેન્ડ ખુલ્લા મુકાયા હતા. હવે મહત્ત્વની વાત એ છે કે, સાડા ચાર કરોડના ખર્ચે બનાવાયેલા 15 બસ સ્ટેન્ડમાંથી છેલ્લા પોણા બે વર્ષમાં કરોડો રૂપિયાનો કિંમતી માલસામાન ચોરાઇ ગયો છે અથવા તો તૂટી-ફૂટી ગયો છે. સૌથી વિશેષ વાત એ છે કે, બસ સ્ટેન્ડ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે ત્યાં લોકોને બસની સુવિધા મળે. જો કે મનપાના જ અધિકારીઓ કહે છે કે, અહિંયા હજુ સુધી (અમુક બસ સ્ટેન્ડને બાદ કરતા) સિટી બસ જતી નથી છતાં બે વર્ષ પહેલાં જે બસ સ્ટેન્ડ બનાવાયા તેનો અત્યારે તો રાત્રિના સમયે દારૂ-બીયર પીવાવાળા લોકો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત જેટલી વસ્તુ બસ સ્ટેન્ડમાંથી કાઢી શકાઇ તેમ હતી તેટલી કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઇ ગઇ છે. આ પ્રોજેક્ટ રાજકોટના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાની દેખરેખ હેઠળ પૂરો થયો હતો. જો કે હાલ આ બસ સ્ટેન્ડની હાલત પણ પૂર્વ જેવી એટલે કે નિવૃત્ત થઇ ગયા હોય તેવી થઇ ગઇ છે. બીયરના ટીનના ઢગલાં છે અને રેલિંગ ચોરાઇ ગઇ તમામ બસ સ્ટેન્ડના દરવાજા પણ તૂટી ગયા છે અથવા તો તોડી નાખવામાં આવ્યા છે. સ્લાઇડર ડોરની હાલત ભંગાર જેવી થઇ ગઇ છે તેનો ઉપયોગ કરવો પણ હવે અશક્ય છે. લોકો શહેરમાં રહે છે, સુવિધા બારોબાર અપાઇ લાખો રૂપિયાનો ખર્ચ કરીને બસ સ્ટેન્ડની અંદર સરસમજાની સીલિંગ ટાઇલ્સ નાખવામાં આવી હતી. જો કે તમામ બસ સ્ટેન્ડમાંથી અડધોઅડધ સીલિંગ ટાઇલ્સ ચોરાઇ ગઇ છે અથવા તો તોડી નાખવામાં આવી છે, સાઇડની જારી પણ અમુક બસ સ્ટેન્ડમાંથી ચોરી થઇ ગઇ છે. તૂટેલા દરવાજા અને ફૂટેલા સ્લાઇડર ડોર બસ સ્ટેન્ડની બાજુમાં લોખંડની રેલિંગ નાખવામાં આવી હતી જે આખેઆખી ગાયબ થઇ ગઇ છે. બસ સ્ટેન્ડ દારૂડિયાનો અડ્ડો હોય તેમ બીયરના ટીન અને અસંખ્યા ખાલી બોટલો પડી છે. સન્ડે બિગ સ્ટોરી
સગીરે સર્જ્યો જીવલેણ અકસ્માત:13 વર્ષના સગીરે ટુવ્હીલર ચલાવીને બાળકી-વૃદ્ધને ટક્કર મારી, વૃદ્ધનું મોત
દાણીલીમડામાં 13 વર્ષીય સગીરે પૂરપાટ ઝડપે ટુવ્હીલર ચલાવી સોસાયટીમાં રમતી 4 વર્ષની બાળકી અને ઘરના દરવાજે પહોંચેલા વૃદ્ધને ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું જ્યારે બાળકીને દીકરીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ હતી. દાણીલીમડાની શક્તિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત નૂરમોહમદ (68) 13 માર્ચે રાતે નમાઝ અદા કરી ઘરે આવતા હતા, ઘરના દરવાજે પહોંચ્યા ત્યારે એક ટુવ્હીલર ચાલકે પુરપાટ ઝડપે આવીને તેમને ટક્કર માર્યા પછી ત્યાં રમતી 4 વર્ષીય ફાતીમાને પણ ટક્કર મારી હતી. લોકો ભેગા થઈ જતાં ચાલક ફરાર થઈ ગયો હતો. નૂરમોહમદ અને ફાતિમાને હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરે નૂરમોહમદને મૃત જાહેર કર્યા હતા. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર 13 વર્ષીય સગીર હોવાથી તેના પિતા સામે ગુનો નોંધ્યો છે. ટુવ્હીલર જમાલપુરમાં રહેતા અને મજૂરીકામ કરતા શાહફેઝલ કુરેશીનું હતું. તેઓ મજૂરીકામે ગયા ત્યારે 13 વર્ષીય દીકરાએ ટુવ્હીલર પર નીકળી અકસ્માત કર્યો હતો. બીજા બનાવમાં સોલામાં રહેતા પારસ ગોહિલ 17 જાન્યુઆરીએ પરિવાર સાથે કારમાં ફરવા નીકળ્યા હતા. રાતના સમયે સતાધાર ચાર રસ્તા સિગ્નલ બંધ હોવાથી ઊભા હતા ત્યારે ઓવરસ્પીડે આવેલી ટ્રકે કાર તથા બીજાં બે વાહનને ટક્કર માર્યા બાદ ટ્રક ચાલક ફરાર થયો હતો. આ મામલે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં ટ્રક માલિક મહેન્દ્રસિંહ ચૌહાણ (40, રહે. ભાડજ) હોવાનું જણાયું હતું. તેમણે 17 વર્ષીય સગીરને ટ્રક ચલાવવા આપતા તેણે અકસ્માત કર્યો હતો. જેથી પોલીસે મહેન્દ્રસિંહ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ આદરી છે. ગુજરાતમાં રોજ એક માર્ગ અકસ્માતનું કારણ સગીરકેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ, 2023 અને 2024માં રાજ્યમાં 727 અકસ્માત 18 વર્ષથી નાના યુવાનો દ્વારા થયા છે. દેશમાં 11890 અકસ્માત અને સૌથી વધુ તમિલનાડુમાં 2063 અકસ્માત સગીરોએ સર્જ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઑથોરિટી મુજબ, રાજ્યમાં 2022 અને 2023 દરમિયાન 18 વર્ષથી નાના 893 એટલે કે વર્ષે સરેરાશ 446 યુવકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે. રોજ એક અથવા બે સગીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. સગીરના ડ્રાઇવિંગના કિસ્સામાં બિહારમાં 44 લાખ, છત્તીસગઢમાં 1.30 લાખ, દિલ્હીમાં 44 હજાર, જમ્મુ કાશ્મીરમાં 1.36 લાખ, ઉત્તરાખંડમાં 1.05 લાખ, ઉત્તર પ્રદેશમાં 23 હજાર દંડ ઇ-ચલણમાં ફટકારાયો છે. પરંતુ આ અંગે ગુજરાત વિશે કોઈ માહિતી નથી. કેન્દ્ર સરકારે ઇન્ટીગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ ((iRAD) સિસ્ટમમાંથી આ માહિતી આપી છે.
લ્યો બોલો!:શહેરમાં AMTSની 800 પૈકી 41 બસ રોજ બ્રેકડાઉન થાય છે
શહેરમાં એએમટીએસ બસ છેલ્લા 5 વર્ષમાં જ 77460 વખત ખોટકાઇ છે અથવા તો વિલંબથી ચાલી છે. 5 વર્ષમાં મ્યુનિ. દ્વારા એએમટીએસ પાછળ રૂ. 3069.87 કરોડનું બજેટ ફાળવ્યું હોવા છતાં પણ એએમટીએસની બસો વારંવાર ખોટકાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. શહેરમાં સતત પ્રતિ વર્ષ બ્રેકડાઉનની સંખ્યા વધે છે. નોંધનીય છેકે, એએમટીએસ પાસે 800થી વધારે બસો છે જે અત્યારે રસ્તા પર દોડી રહી છે. રોજની 41 બસો બ્રેકડાઉન થઇ રહી છે. જે બીઆરટીએસમાં આ સંખ્યા રોજની 61 બસની છે. એએમટીએસમાં રોજના 5 લાખ મુસાફરો મુસાફરી કરે છે. ચાલુ વર્ષે મ્યુનિ. દ્વારા એએમટીએસનું 705 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ બસોની ફ્રીક્વન્સી તેમજ તેની ઝડપ સહિતની ગુણવત્તા સુધારવા પર યોગ્ય ભાર આપવામાં આવ્યો નથી. 5 વર્ષમાં કેટલી બસ બ્રેકડાઉન? AMTS હવે કોન્ટ્રાક્ટર માટે જ છેAMTS મુસાફરો માટે નહીં માત્ર કોન્ટ્રાક્ટરો માટે ચાલે છે. વારંવાર બસો વિલંબિત ચાલે છે કે પછી બ્રેકડાઉન થાય છે. બસમાં આગ લાગવાની ઘટના બને છે. જે ગંભીર બાબત છે - શહેજાદખાન પઠાણ (પૂર્વ વિપક્ષ નેતા, મ્યુનિ.)
છેતરપિંડીનો મામલો આવ્યો સામે:વીમા પોલિસીના બહાને વૃદ્ધ સાથે 19.05 લાખની છેતરપિંડી આચરી
સોલા સાયન્સસિટી સુકન મોલ પાસેના સપ્તક બંગલોઝમાં રહેતા ભોગીલાલ કિશોરદાસ પટેલ(75) ઉપર 2022માં કેટલીક વીમા પોલિસીની ઈન્કવાયરી કરવા એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સમાંથી ફોન આવ્યા હતા. જેમાં તેમણે નવી વીમા પોલિસી ઉતારવા માટે જણાવ્યું હતું. જેથી ભોગીલાલે હા પાડતા તેમણે એક મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ લોકેશ શર્માનો ફોન આવ્યો હતો અને તેણે પોલિસીના ફાયદા અંગે સમજણ આપી હતી. ભોગીલાલે વીમા પોલિસી લેવા માટે સંમતિ આપતા પોલિસીનો ચેક લેવા માણસને ઘરે મોકલ્યો હતો. જેણે કેવાયસી અપડેટ કરવા આધાર કાર્ડ, ફોટા સહિતની માહિતી, રૂ.1 લાખનો ચેક તેમજ જીએસટી સાથેનો ચેક આપ્યો હતો. ત્યારબાદ એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સની વીમા પોલિસી અને પૈસા ભર્યાની રશીદ પોસ્ટ મારફતે ભોગીલાલના ઘરે આવ્યા હતા. જ્યારે એપ્રિલ-2023માં અજાણ્યા નંબરથી ભોગીલાલને ફોન આવ્યો હતો. જેમાં પંકજ શર્મા બરોડા ઓફિસમાંથી બોલતો હોવાનું કહી સીતારામ શર્માનો ફોન આવશે તેવી વાત કરતા તેણે સરકારના વીમા સલાહકાર અને મોટા અધિકારી તરીકે ઓળખાણ આપીને તેઓ અનક્લેઈમ વીમાની રકમના ચાર્જમાં હોવાની વાત કરી હતી. તમારા નામે રિઝર્વ ફંડમાં વીમાની રમક હોવાથી રૂ.25 લાખ અપાવીશ તેમ કહ્યું હતું. પહેલા રકમની 10 ટકા ભરવી પડશે. તેવીને તેમના પીએ મનીશભાઈ વાત કરશે તેવું કહીને મનીશભાઈનો નંબર આપ્યો હતો. મનીશભાઈએ ભોગીલાલ સાથે વાત કરીને આઈપીઓમાં રોકાણથી મહિને13 હજાર પેન્શન આપવાની વાત કરી હતી. જેમાં ભોગીલાલ સંમત થતા તેમણે 8 મહિના સુધી ભોગીલાલને રૂ.13 હજાર પેન્શન ખાતામાં જમા કરાવ્યું હતું.
આજથી સૂર્યની મીન સંક્રાંતિ:અંતિમ રાશિ મીનમાં સૂર્યના ભ્રમણથી નેત્રરોગ વકરે, કેન્સરના દર્દીઓ વધે
રવિવાર ને 15 માર્ચે રાત્રે 01.04 વાગ્યે ગ્રહમંડળના રાજા સૂર્ય રાશિચક્રની અંતિમ બારમી રાશિ મીનમાં પ્રવેશ કરશે. સૂર્યના આ પ્રવેશને મીન સંક્રાંતિ કહેવાય છે. આ દિવસથી મીનારક કમૂરતાંનો પણ આરંભ થશે, જે 14 એપ્રિલ સુધી રહેશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર મીન જળ તત્ત્વની, બેકી રાશિ અને રાશિચક્રની બારમી રાશિ છે, જેની પગનાં તળિયાંની ગણના થાય છે. નૈસર્ગિક કુંડલી મુજબ બારમો ભાવ જેલ, હૉસ્પિટલ સાથે ભક્તિભાવ માટે ગણાય છે. મીન રાશિમાં સૂર્યના ભ્રમણથી રાજા સમાન વ્યક્તિ આ સમયમાં જેલયાત્રા સંભવ સાથે બીમાર પડતાંની સાથે જ આઇસોલેશન થાય તેવા યોગ રચાઈ શકે છે. સાથે જ નેત્રરોગો વકરે તેવા યોગ સર્જાઈ શકે છે. મીન સંક્રાંતિની આ રાશિના જાતકો પર શુભાશુભ અસર
ઘરના ખૂણામાં પડી રહેતી પસ્તી પણ અભાવગ્રસ્ત લોકોની મદદમાં ઉપયોગી થઈ શકે છે. આ વાત અર્હમ યુવા સેવા ગ્રુપે સાર્થક કરી બતાવી છે. આ ગ્રુપ 13 વર્ષથી શહેરની વિવિધ સોસાયટીઓમાં જઈને લોકો પાસેથી પસ્તી એકઠી કરે છે અને તેને વેચીને મળતી રકમમાંથી જરૂરિયાતવાળાં બાળકોને પુસ્તકો, ગણવેશ, સ્ટેશનરી જેવી વસ્તુઓ આપે છે. અત્યાર સુધીમાં 91 હજાર કિલો જેટલી પસ્તી એકત્ર કરીને વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી છે. ગ્રૂપના જસ્મિન શાહે કહ્યું હતું કે રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી વર્ષ 2013માં અર્હમ યુવા સેવા ગ્રુપ શરૂ કરાયું હતું. 50થી વધુ યુવાન દર મહિને 2 રવિવારે શહેરના વિવિધ સોસાયટીઓમાંથી પસ્તી એકત્ર કરે છે. ત્યાર પછીના બે રવિવારે માનવસેવા અને જીવદયાનાં કાર્યો કરે છે. 13 વર્ષમાં 91 હજાર કિલોથી વધુની પસ્તી એકત્ર કરીને વિવિધ વિસ્તારોનાં બાળકોને મદદ કરાઈ છે. એપ્રિલમાં પસ્તી સે પુસ્તક મહા અભિયાનગ્રુપ દ્વારા 1થી 30 એપ્રિલ સુધી ‘પસ્તી સે પુસ્તક’ મહા પસ્તી અભિયાન આદરાશે. ગ્રુપના યુવાનો વિવિધ વિસ્તારોમાં પસ્તી એકત્ર કરશે અને તેની રકમમાંથી અનેક બાળકોને શિક્ષણ સહાય અપાશે. ગયા વર્ષે મહા પસ્તી અભિયાનમાં આશરે 2800 કિલો પસ્તી એકત્ર કરાઈ હતી. અને જેના દ્વારા વિવિધ શાળામાં સ્ટેશનરી, ગણવેશ, સ્ટડી ટેબલનું વિતરણ કરાયું હતું. પસ્તીનું દાન કરવા માગતા લોકો વોટ્સ અપ 9898010902, 9136442490 પર સંપર્ક કરી શકશે.
પેપર રિવ્યુ:કમ્પ્યુટરના જાવાના 3 પ્રશ્નોના વિકલ્પોથી વિદ્યાર્થીઓ મૂંઝાયા
જીએસઈબીની ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શનિવારે કમ્પ્યુટર વિષયની અંગ્રેજી માધ્યમની પરીક્ષામાં પેપર સેટ નંબર(એ)માં ત્રણ માર્કસના 56, 82 અને 83 જાવાના પ્રકરણ આધારિત ત્રણ પ્રશ્નોમાં જવાબ રુપે દર્શાવાયેલા એકથી વધુ વિકલ્પો સાચા હોવાથી વિદ્યાર્થીઓને કયો જવાબ લખવો તેને લઈને મૂંઝવણ થઈ હતી તેમ કમ્પ્યુટર વિષય નિષ્ણાત સંજય કામદારે જણાવ્યું હતું. આ અંગે વાલીઓ શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરશે. 100 માર્કસનું પ્રશ્નપત્ર એકંદરે સરળ રહ્યું હતું. અંગ્રેજી માધ્યમના પ્રશ્ન નંબર - ૮૩In Java, if we want to allow other methods to modify the data value, we should use __ method . (A) અને (D) બંને જવાબ શક્ય છે પ્રશ્ન નંબર - ૮૨Which of the following operators creates an object and returns its references?માં જવાબ તો new એટલે કે (B) વિકલ્પ આવે પણ પ્રશ્ન માં operators (ગુજરાતીમાં જેને પ્રક્રિયક કહેવાય) પણ New ખરેખર તો કમાન્ડ કહેવાય પ્રક્રિયક ના કહેવાય. એટલે અહીંયા વિધાર્થીઓ ને પ્રશ્નમાં મૂંઝવણ થવી સ્વાભાવિક છે. પ્રશ્નપત્ર નંબર - ૫૬ In object oriented programming, the one which describes various characteristics of an object, is also known as _ માં જવાબ ટેક્સબુક પ્રમાણેProperty અને Attribute બંને સાચા છે.(કમ્પ્યુટર વિષય નિષ્ણાત સંજય કામદાર(એસ કે)ના જણાવ્યાં પ્રમાણે)
ખાણીપીણીની ગુણવત્તા સુધરશે:માણેકચોકથી લો ગાર્ડન સુધીના 50 હજાર લારી-ગલ્લાનો ‘ડિજિટલ મેપ’ બનશે
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ બનાવેલા નિયમનો 1 એપ્રિલથી અમલ થશે. નાના ફૂડ બિઝનેસ પર વ્યવસ્થિત અને ડિજિટલ દેખરેખ રહેશે. માણેચોકથી લૉ ગાર્ડન સુધીના 50 હજાર લારી-ગલ્લાનો ‘ડિજિટલ મેપ’ તૈયાર થશે. જેના કારણે ખાણીપીણીની ગુણવત્તામાં સુધારો થશે. નવા નિયમો મુજબ રૂ.1.5 કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતા ફૂડ બિઝનેસ માટે માત્ર નોંધણી પૂરતી રહેશે, જ્યારે રૂ.1.5 કરોડથી રૂ. 50 કરોડ સુધીના વ્યવસાય માટે રાજ્ય લાઇસન્સ અને રૂ. 50 કરોડથી વધુ માટે કેન્દ્રીય લાઇસન્સ જરૂરી રહેશે. અમદાવાદમાં અંદાજે 70 હજાર ફૂડ બિઝનેસ છે, જેમાંથી લગભગ 50 હજાર નાના લારી-ગલ્લા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો છે. નાના વેપારીઓ સરળ નોંધણીથી કાયદેસર રીતે વ્યવસાય કરી શકશે. મ્યુનિ. પાસે શહેરમાં કેટલા લારી-ગલ્લા છે, તેઓ ક્યાં ઊભા રહે છે અને શું વેચે છે તેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નહોતી. હવે મોટા પ્રમાણમાં વેપારીઓ નોંધણી કરશે ત્યારે સરકાર અને ફૂડ સેફ્ટી વિભાગ પાસે શહેરનો એક પ્રકારનો ડિજિટલ નકશો તૈયાર થશે, જેમાં સ્પષ્ટ રીતે ખબર પડશે કે કયા વિસ્તારમાં કેટલા વેન્ડર છે અને કોણ કયો ખાદ્ય પદાર્થ વેચે છે. આ ડેટા મળવાથી ચેકિંગની પ્રક્રિયા વધુ ચોક્કસ બની શકે છે. 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા 50 હજારથી વધુ નાના વેપારીઓને લાઈસન્સ પ્રક્રિયામાંથી રાહત લાઈસન્સ માટેનાં નવાં ધોરણો નવા નિયમો ગ્રાહકો માટે ફાયદાકારકશહેરમાં વધુ ફૂડ બિઝનેસ કાયદેસર રીતે નોંધાયેલા રહેશે, ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા પર વધુ નિયંત્રણ રહેશે. રિસ્ક આધારિત નિરીક્ષણ વ્યવસ્થા થકી નિયમોનું પાલન વધુ અસરકારક રીતે થશે અને અનિયમિતતા સામે ઝડપી કાર્યવાહી શક્ય બનશે. - હિરેન ગાંધી, જીસીસીઆઇ ફૂડ કમિટીના પૂર્વ પ્રમુખ
ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને હવે કોર્પોરેટ લુક મળશે. ડીજીપીથી માંડીને 160થી વધારે આઈપીએસ અધિકારીઓએ એક - એક પોલીસ સ્ટેશન દત્તક લીધા છે. અમદાવાદમાં 49 તેમજ ટ્રાફિકના 14 મળી કુલ 63 તેમજ રાજ્યમાં કુલ 700 પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશનમાં પાયાની સગવડો જેવી કે પાણી, ગટર, શૌચાલય, સીસીટીવી કેમેરા, લોકઅપ, ડસ્ટબીન જેવી તમામ સગવડોની જવાબદારી જે તે આઈપીએસ અધિકારીને સોંપાઈ છે. પોલીસનો લોકો સાથેનો વ્યવહાર તેમજ તમામ રેકોર્ડ, મુદ્દામાલ, પોલીસની સમસ્યા સહિતની તમામ બાબતોનું સીધું મોનિટરિંગ જે - તે આઈપીએસ અધિકારી કરશે. સીધી રીતે કહી એ તો અધિકારીઓ હવે ગુનેગારો ને જ નહીં પરંતુ પોલીસ સ્ટેશનની સુવિધા પર પણ નજર રાખશે. પોલીસ સુધારણા વિભાગના અધિક પોલીસ મહાનિર્દેષક ખુરધીશ અહેમદે તમામ આઈપીએસ અધિકારીઓને એક - એક પોલીસ સ્ટેશન દત્તક લેવા માટે પરિપત્ર કર્યો હતો. ડીજીપી, 4 શહેરના પોલીસ કમિશનર, 9 રેન્જ ડીઆઈજી, 34 જિલ્લા ડીએસપી સહિત 160થી વધારે આઈપીએસ અધિકારીઓના નામ તેમજ તે અધિકારી કયુ પોલીસ સ્ટેશન દત્તક લઈ રહ્યા છે તેના નામ સાથેની યાદી તૈયાર કરીને 12 માર્ચે આપી દેવાઈ છે. 70 સુવિધાની યાદી અપાઈ, 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ આપવો પડશેજે પણ આઈપીએસ અધિકારીઓને પોલીસ સ્ટેશન દત્તક લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને15 એપ્રિલ સુધીમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાં મળવા પાત્ર 70 સુવિધાઓ સાથેની યાદી આપવામાં આવી છે. તેમાંથી ત્યાં જે પણ સુવિધા ન હોય તે પૂરી કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ સ્ટેશન દત્તક લીધા પછી પણ જો તે પોલીસ સ્ટેશનમાં સુવિધા પૂરી નહીં થાય તો તે માટે પોલીસ સ્ટેશન દત્તક લેનાર આઈપીએસ અધિકારીને જવાબદાર ઠેરાવવામાં આવશે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો પુરવઠો ફરી શરૂ થવા અંગે છે. જ્યારે હોર્મુઝથી બે ભારતીય જહાજો ભારત જવા રવાના થઈ ચૂક્યા છે. બીજા સમાચાર પીએમ મોદીની રેલી પહેલા ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ અંગે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના આસામના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પાસેના કટિગોરા વિસ્તારના નતનપુર ગામની પણ મુલાકાત લેશે. કાલના મોટા સમાચારો 1. હોર્મુઝથી ભારતના બે જહાજો મુન્દ્રા અને કંડલા પોર્ટ પર પહોંચશે: 2-3 દિવસમાં ભારત આવશે; કુલ 92,700 ટન LPG લઈને ઈન્ડિયા આવી રહ્યા છે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 15મો દિવસ છે. આ દરમિયાન ખાડી દેશોમાંથી LPG લઈને આવી રહેલા ભારતના બે જહાજો હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયા છે. આ જહાજો હવે ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદર તરફ આગળ વધી રહ્યા છે અને 16 અથવા 17 માર્ચ સુધીમાં ભારતીય બંદરો પર પહોંચી જવાની સંભાવના છે. શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાના જણાવ્યા મુજબ, ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર 'શિવાલિક' અને 'નંદા દેવી' શનિવારે સવારે સુરક્ષિત રીતે સ્ટ્રેટ પાર કરી ગયા હતા. આ બંને જહાજો કુલ 92,700 ટન LPG લઈને ભારત આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 5 દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ:સરકારે કહ્યું- ઉતાવળમાં બુકિંગ ન કરો; દિલ્હીની હોટલો-રેસ્ટોરન્ટ્સ કચરામાંથી ઉત્પાદિત ગેસનો ઉપયોગ કરે સરકારે પાંચ દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડર પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ ફરી શરૂ થઈ ગયું છે. સરકારે 9 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠા પર પ્રતિબંધ લાદ્યો હતો. બિહારમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે લાકડા-કોલસાની માગ વધી ગઈ છે. રાજસ્થાનમાં હોટલ લાકડા પર રસોઈ બનાવી રહ્યા છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે. ઘણી જગ્યાએ 2 હજારનો કોમર્શિયલ સિલિન્ડર 4 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કોલકાતામાં ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:મમતાના મંત્રીએ કહ્યું- મારા પર હુમલો કર્યો; PMએ કહ્યું- જંગલરાજવાળાનું કાઉન્ટડાઉન શરુ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પીએમ મોદીની રેલી પહેલા ભાજપ અને TMC કાર્યકરો વચ્ચે વિવાદ થયો છે. ગિરીશ પાર્ક વિસ્તારમાં બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો. પોલીસે ભીડને વિખેરી નાખી. પશ્ચિમ બંગાળના ઉદ્યોગ, વાણિજ્ય અને ઉદ્યમ મંત્રી શશિ પંજાએ આરોપ લગાવ્યો કે અથડામણ દરમિયાન મારા પર ઈંટથી હુમલો કરવામાં આવ્યો. ભાજપ ગુંડા નહીં પણ હત્યારો છે. કોલકાતામાં પોતાના સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું કે જંગલરાજ કરનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ નિર્મમ સરકારનો અંત નજીક આવી ગયો છે. પીએમએ કહ્યું કે પહેલા કોંગ્રેસ, પછી કમ્યુનિસ્ટ અને હવે ટીએમસી, આ લોકો એક પછી એક આવતા રહ્યા અને પોતાના ખિસ્સા ભરતા રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વર્લ્ડકપ ટ્રોફી લઈને સૂર્યા-ગંભીર સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા, VIDEO:અભિષેક શર્માએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા, કીર્તિ આઝાદે હનુમાન મંદિરે જવા પર સવાલ ઉઠાવ્યો હતો ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર શનિવારે T20 વર્લ્ડકપની ટ્રોફી સાથે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા. અહીં બંનેએ ભગવાન ગણેશના દર્શન કરીને ટીમની સફળતા માટે આશીર્વાદ લીધા. આ પહેલા 8 માર્ચે ચેમ્પિયન બન્યા બાદ તેમણે ટ્રોફી સાથે અમદાવાદના હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા. ખેલાડીઓના મંદિર જવા પર પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ કીર્તિ આઝાદે સવાલ પણ ઉઠાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્મા પણ 13 માર્ચે જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત પ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યા અને માતા રાણીના દર્શન કરીને આશીર્વાદ લીધા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કેન્દ્રએ સોનમ વાંગચુક પર લાગેલો NSA હટાવ્યો:જોધપુર જેલમાંથી 170 દિવસ પછી મુક્ત થશે; લેહ હિંસા પછી અટકાયતમાં લેવાયા હતા કેન્દ્રએ શનિવારે લદ્દાખના સામાજિક કાર્યકર અને એન્જિનિયર સોનમ વાંગચુક પર લાગુ નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હટાવી દીધો. આ આદેશ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવશે. ગૃહ મંત્રાલય અનુસાર, સોનમે NSA એક્ટ હેઠળ પોતાની અટકાયતનો લગભગ અડધો સમય પૂરો કરી લીધો છે. લદ્દાખ પ્રશાસને 24 સપ્ટેમ્બર 2025ના રોજ લેહ હિંસા ભડકાવવાના આરોપમાં 26 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ વાંગચુકને અટકાયતમાં લીધા હતા. ત્યારથી તેઓ જોધપુર જેલમાં છે. આ હિંસામાં 4 લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. લગભગ સાડા પાંચ મહિના થઈ ચૂક્યા છે. લગભગ 170 દિવસ પછી મુક્ત થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગેસની અછત બાદ હવે ઇન્ડક્શન-સગડીમાં વેઇટિંગ:રાજકોટમાં કોલસાની સગડીમાં 15 દિવસનું, સુરતમાં ઇન્ડક્શન લેવા 10નું વેઈટિંગ; અમદાવાદમાં L.D. કોલેજમાં ચૂલા સળગ્યા રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં કાળાબજારીઓ દ્વારા 3000થી 4000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં L.D. એન્જિ.માં વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું':'સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યું', તિરંગાના અપમાન બદલ ફરિયાદ દાખલ કરવા વડોદરામાં અરજી વડોદરાના સામાજીક આગેવાન દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન અને સ્ટેડિયમમાં બિભત્સ વર્તન કરવા બદલ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્ર ધ્વજનું અપમાન અને અમદાવાદ સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ બોલ્યા-DUમાં ઇન્ટરવ્યુથી વિદ્યાર્થીઓને બહાર કાઢે છે:દિલ્હી યુનિવર્સિટીએ કહ્યું- પહેલા હકીકત તપાસો, એડમિશન પ્રવેશ પરીક્ષાથી થાય છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં જોરદાર બ્લાસ્ટ:યહૂદી સ્કૂલને નિશાન બનાવવામાં આવી, મેયરે કહ્યું- યહૂદી સમુદાયને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બેગુસરાયમાં CM નીતિશની સુરક્ષામાં ચૂક:હેલિપેડમાં બળદ ઘૂસ્યો, પોલીસકર્મીઓને દોડાવ્યા; બચવા માટે ફાયર બ્રિગેડ પર ચઢ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને ઇસ્લામાબાદમાં 2 વિસ્ફોટક ડ્રોન તોડી પાડ્યા:અફઘાનિસ્તાને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા; પહેલાં પાકિસ્તાને કાબુલ પર એરસ્ટ્રાઈક કરી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 1 એપ્રિલથી ફાસ્ટેગ એન્યુઅલ પાસ મોંઘો થશે:₹3,000 ને બદલે ₹3,075 ચૂકવવા પડશે; 52 લાખથી વધુ યુઝર્સ પર અસર થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વર્લ્ડકપ ટ્રોફી લઈને સૂર્યા-ગંભીર સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા: અભિષેક શર્માએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા, કીર્તિ આઝાદે હનુમાન મંદિરે જવા પર સવાલ ઉઠાવ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મીન સંક્રાંતિની તારીખ અંગે પંચાંગ ભેદ:14ની મધ્યરાત્રિએ સૂર્ય રાશિ બદલશે, 15 માર્ચની સવારે સૂર્યને અર્ઘ્ય ચઢાવીને દાન-પુણ્ય કરો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મચ્છર મારવાની અગરબત્તીથી વ્યક્તિ જીવતો સળગી ગયો જબલપુરના સિહોરામાં ટાટા સુમોની અંદર મચ્છર ભગાડવા માટે સળગાવવામાં આવેલી અગરબત્તીને કારણે ગાડીમાં સૂઈ રહેલો એક વ્યક્તિ જીવતો સળગી ગયો છે. આ વાહન ઘણું જૂનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. દરરોજ જુઓ આસારામ પર થ્રિલર વીડિયો સિરીઝ: 40 એપિસોડમાં એક બૂટલેગરમાંથી સંતની શેતાન બનવાની પૂરી કહાની 2. આજનું એક્સપ્લેનર: ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર કબજાની તૈયારી, બોમ્બમારા પછી 2,500 અમેરિકી કમાન્ડો પહોંચ્યા, શું ઓઈલ સપ્લાય 100% અટકી જશે? 3. ભાસ્કર એક્સક્લૂસિવ : જેમને કપડાં ઉતારીને ફેરવી, તે મણિપુરની યુવતીઓ ક્યાં ગઈ?: 3 વર્ષથી સુનાવણી ચાલુ, પીડિતાએ કહ્યું- જીવતી છું, પણ દુનિયા મને ભૂલી ગઈ 4. ભાસ્કર એક્સપ્લેનર : રોજ 75 લાખ સિલિન્ડરનું બુકિંગ, 50 લાખની ડિલિવરી:ભારત પાસે કેટલો રસોઈ ગેસ બાકી, સરકારે આગળ માટે શું વ્યવસ્થા કરી છે? 5. પારકી પંચાત : કુલપતિની ચેમ્બરમાં ડખો, સાહેબે ખૂણો પકડી લીધો:વિધાનસભા બહાર કોંગ્રેસનો ‘બાટલાફાડ’ વિરોધ; જીવાત નિકળી છાસમાં ને સેમ્પલ લીધા શાકના! ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:મેષ-સિંહ રાશિ માટે ધનલાભના યોગ, કુંભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધ રહેવું! વાંચો સંપૂર્ણ રાશિફળ
ભાસ્કર એક્સક્લુસિવ:યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ ફ્યૂઅલ ચાર્જ રૂ.425 વધારતા એરફેર 20 ટકા વધ્યું
ઇઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઇન્ડિગો એરલાઇને ડોમેસ્ટિક રૂટ પર રૂ.425 ફ્યૂઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે અમદાવાદથી મુંબઈનું ભાડું હવે રૂ. 3010ને બદલે રૂ.3800 અને દિલ્હીનું ભાડું રૂ.3690ની જગ્યાએ રૂ.4700, બેંગલુરુનું ભાડું રૂ.4530થી રૂ.5300 થશે. જોકે વનવે ભાડામાં છેલ્લી ઘડીએ, તહેવારો કે રજાઓ વખતે વધારાની શક્યતા રહે છે. ડોમેસ્ટિક એર ટિકિટમાં ફ્યૂઅલ ચાર્જ એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ)ના વધતા-ઘટતા ભાવને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે. દરેક એરલાઇન પોતાની રીતે ફ્યૂઅલ ચાર્જ નક્કી કરે છે અને તેના કુલ ઓપરેશન ખર્ચમાં 40 ટકા ખર્ચ એટીએફ પર નિર્ભર હોય છે. સામાન્ય રીતે આ ચાર્જ એરલાઇનના બેઝ ફેરમાં સામેલ હોય છે, જેથી ટિકિટ ભાવ તારીખ પ્રમાણે બદલાય છે. વેકેશનમાં સિંગાપોર, બાલી, મલેશિયાનાં પેકેજ પણ મોંઘાંડોલરના ભાવમાં વધારો, ખાડી દેશોમાં તણાવ વચ્ચે ટ્રાવેલ એજન્ટોએ ફાર ઇસ્ટ ટૂર પેકેજમાં 13 હજાર સુધીનો વધારો કર્યો છે. સમર વેકેશનને ધ્યાનમાં રાખી હાલ અંદાજે પેકેજ ભાવ આ પ્રમાણે છે: આ રૂટનાં ભાડાં વધ્યાં અમદાવાદથી દરરોજ 146 ફ્લાઇટના 23 હજાર પેસેન્જર, દરરોજ રૂ.1 કરોડ વસૂલાશેઇન્ડિગો અમદાવાદથી દરરોજ ડિપાર્ચર-એરાઇવલ મળી લગભગ 146 નાનાં-મોટાં વિમાનોનું સંચાલન કરે છે. તેમાં 116 એરબસ A-320/321 શ્રેણીનાં વિમાનોનો સમાવેશ થાય છે. પ્રતિ વિમાન 180 સીટ પ્રમાણે કુલ 20,880 સીટ ઉપલબ્ધ છે. આ સીટો પર જો રૂ.425 ફ્યૂઅલ સરચાર્જ વસૂલવામાં આવે તો રોજ લગભગ રૂ.88.74 લાખ વસૂલાશે. ઉપરાંત અમદાવાદથી 30 ATR-72 નાના વિમાનોનું પણ સંચાલન થાય છે. પ્રતિ વિમાન 72 સીટ મુજબ કુલ 2,160 સીટ થાય છે. અહીંથી દરરોજ લગભગ રૂ.9.18 લાખ વસૂલાશે. આ રીતે તમામ ફ્લાઇટો ફુલ થાય તો પેસેન્જરોના ખિસ્સામાંથી પ્રતિદિન અંદાજે વધુ રૂ.1 કરોડ રૂએરલાઇન દ્વારા વસૂલાશે.
ફરિયાદ:આણંદમાં ગીરવે મુકેલા દાગીના બાબતે યુવકને સાઢુ સહિત 4 વ્યક્તિએ માર માર્યો
આણંદ શહેરમાં મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આવેલા ફ્લેટમાં રહેતા યુવકે પોતાની પત્નીના ગીરવે મુકેલા દાગીના બાબતે વાતચીત કરવા માટે પોતાના સાઢુને ઘરે બોલાવી મિત્ર, સાળા અને સાસુ સાથે મળી માર માર્યાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે. આણંદ તાલુકાના લાંભવેલ રહેતા નૈમિતકુમાર શૈલેષભાઈને નાણાંની જરૂર પડતા તેઓના પત્ની પારૂલબેને પોતાની બહેન શીતલબેનની સહમતિથી બહેનનાદાગીના ગીરવે મૂક્યા હતા. અને આ બાબતની વાત નૈમિતકુમારના સાસુ લાંભેવેલ ગામે રહેતા જશોદાબેન હસમુખભાઈ વસાવાને થતાં જશોદાબેન જમાઈ નૈમિતકુમારને દાગીના છોડાવી લેવાનું જણાવતા નૈમિતકુમારે હાલમાં પોતાને દેવું થઈ ગયું હોવાથી ધીરે ધીરે કરીને દાગીના છોડાવી પરત આપી દઈશ તેમ જણાવ્યું હતું. ગત તા 6 ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગે સાસુ જસોદાબેન વસાવાએ નૈમિતકુમારને સાઢુ નિલેશભાઈ હરીશભાઈ સોલંકીના ઘરે દાગીના બાબતે વાતચીત કરવા બોલાવ્યા હતા ત્યારે ત્યાં નિલેશકુમાર ઉપરાંત તેઓના મિત્ર સામી મોહસીનભાઈ વ્હોરા(રહે. આણંદ ) સાસુ જસોદાબેન હસમુખભાઈ વસાવા અને સાળો શીરીષભાઈ હસમુખભાઈ વસાવા(બંને રહે. લાંભવેલ) પણ હાજર હતા. અને દાગીના છોડાવવા બાબતે વાતચીત કરી નૈમિતકુમારને ચારેય જણાએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.આ બનાવ અંગે નૈમિતકુમાર શૈલેષભાઈની ફરિયાદ લઇ આણંદ શહેર પોલીસે નિલેશભાઈ હરીશભાઈ સોલંકી સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સ્વાસ્થ્ય સાથે ચેડાં:બાકરોલ દૂધ મંડળીમાં 6 સભાસદોના દૂધમાં ભેળસેળ મળતાં લેવાનું બંધ કરાયું
આણંદના બાકરોલની દૂધ મંડળીમાં ભેળસેળીયુ દૂધ મળી આવતાં અમૂલ ડેરી દૂધ લેવાનું બંધ કરતાં 350 વધુ સભાસદો મુશ્કેલીમાં મુકાઇ છે. મંડળીમાં માત્ર 6 સભાસદોના દૂધમાં પાણી, અન્ય પદાર્થની ભેળસેળ 3200 લીટર દૂધ ઘરે પરત લઇ જવાનો વખત આવતાં પશુપાલન પર નિભતા પરિવારને એક દિવસની રોજી છીનવાઇ જતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદના બાકરોલ ગામની દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી દૂધમાં ભેળસેળ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેથી અમૂલ ડેરીને કવોલીટી એન્સોરેન્સ વિભાગની ટીમોએ બાકરોલ દૂધ મંડળી ભરવામાં આવતાં તમામ સભાસદો દૂધની ચકાસણી કરી હતી. જેમાં 6 જેટલા સભાસદોના દૂધમાં મિલાવટ જણાઇ આવી હતી.જેના કારણે ડેરીમાં આવેલા દૂધ ટાંકાનું તમામ દૂધ ભેળસેળ યુકત બની જતાં માનવ સ્વાસ્થાય માટે હાનિકારક હોવાથી તાત્કાલિક અમૂલ ડેરી બાકરોલ દૂધ મંડળીનું દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અમૂલની તપાસમાં માત્ર 6 સભાસદોના દૂધમાં ભેળસેળ હોવા છતા તમામ દૂધ બંધ કરાતાં સભાસદો છેલ્લી 2 ટકનું દૂધ ભરી ન શકતાં મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.જેને લઇને ભારે નારાજગી જોવા મળે છે. ભેળસેળિયુ દૂધ ભરતાં 6 સભાસદો દૂધ લેવાનું બંધ બાકરોલ દૂધ મંડળીના સેક્રેટરી સલીમભાઇ મલેકે જણાવે છે કે, અમૂલની ટેસ્ટીંગ વાન દ્વારા સેમ્પલ ચકાસણી થઈ તેમાં 6 ગ્રાહકોના સેમ્પલ જણાઈ આવ્યાં છે. સંઘના પરિપત્ર મુજબ જે સેમ્પલ અસામાન્ય જણાઈ આવ્યાં છે, તેની ઉપર કાર્યવાહી કરી, દંડની જોગવાઈ છે એ મુજબ તેમનું દૂધ બંધ કરવામાં આવ્યું છે. તેમજ મંડળીમાં ઠરાવ કરીને 6 સભાસદો સામે શું કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે.પુન: અમૂલે દૂધ લેવાનું નક્કી કરતાં ડેરી ચાલુ કરવામાં આવી છે. 6 સભાસદોના 800 લીટર ભેળસેળિયા દૂધથી ટેન્કનું 5 હજાર લીટર દૂધ ખરાબબાકરોલ દૂધ મંડળીમાં 6 જેટલા મોટા સભાસદો દ્વારા દૈનિક 800 લીટર દૂધ ભેળસેળિયુ ભરવામાં આવતું હતું. તેઓના દૂધના નમૂના પાણી સહિત અન્ય પ્રદાર્થની ભેળસેળ હોવાથી અસામાન્ય જાહેર કરાયું હતું. મંડળી 5 હજાર લીટર દૂધની ક્ષમતા ધરાવતી ટેન્કમાં આ 800 લીટર ભેળસેળિયુ દૂધ ભળતાં તમામ દૂધમાં ભેળસેળ થઇ જતાં માનવ સ્વાસ્થય માટે હાનિકારક હોવાનું નિષ્ણાંતો માનવું છે.ત્યારે 6 સભાસદાને કારણે 350 સભાસદોને હાલાકી ભોગ વખત આવે છે. ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ સૌ કોઇ ઇચ્છે છે.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:9 સરકારી યુનિ.માં રજીસ્ટ્રારોની નિમણૂક વિવાદમાં: લાયકાત, અનુભવ મુદ્દે સવાલો
ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં યુજીસીના નિયમોનું પાલન થતું નથી તેમ ખૂદ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવે છે. રજીસ્ટ્રારના ઇન્ટરવ્યૂ, લાયકાત, અનુભવ અને નિયમોના પાલન અંગે મોટા પ્રશ્નો ઉભા થયા છે. કેટલીક જગ્યાએ નાણાકીય ભ્રષ્ટાચાર, રાજકીય દબાણ, ડિગ્રી આપવામાં ગોટાળા, સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં અનિયમિતતા, ટેન્ડરિંગ પ્રક્રિયામાં ગોટાળા તેમજ ભરતી પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓ ભાસ્કરના ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યા છે. 2023થી રાજ્યમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ અમલમાં છે. 14 સરકારી યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ (ડિમ્ડ યુનિવર્સિટી) એક જ કાનૂની માળખામાં કાર્યરત થઈ છે. કુલપતિઓ પોતાના માનીતા વ્યક્તિઓને રજીસ્ટ્રાર બનાવી રહ્યાં છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રારની નિમણૂક સમયે “સારો નહીં, પણ મારો” જેવો ફોર્મ્યુલા અપનાવાય છે. કેટલાક કિસ્સાઓમાં રજીસ્ટ્રારો સામે તપાસ ચાલુ છે. આ તમામ આક્ષેપો અંગે સંબંધિત યુનિવર્સિટીઓ અથવા શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવા તૈયાર નથી. નિયમ મુજબ રજીસ્ટ્રાર માટે જરૂરી લાયકાતકોમન એક્ટ મુજબ રજીસ્ટ્રાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી અને ઓછામાં ઓછા 55 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોવો જરૂરી છે. સાથે ઓછામાં ઓછો 15 વર્ષનો વહીવટી અનુભવ હોવો જોઈએ. આ અનુભવ યુનિવર્સિટી અથવા કોલેજમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર અથવા સમકક્ષ વહીવટી પદ પરનો હોઈ શકે છે અથવા સરકારી કે શૈક્ષણિક સંસ્થામાં વહીવટી અધિકારી તરીકેનો અનુભવ માન્ય ગણાય છે. રજીસ્ટ્રાર પાસે યુનિવર્સિટી વહીવટ, શૈક્ષણિક નિયમો અને કાનૂની પ્રક્રિયાની સમજ હોવી આવશ્યક છે. રજીસ્ટ્રારની નિમણૂક કુલપતિ કરે છે. આઠ સરકારી, એક ડિમ્ડ યુનિ.ના રજિસ્ટ્રાર સામેના આક્ષેપો રમેશદાન ગઢવી, રજીસ્ટ્રાર – વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરતઅગાઉ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ., ડૉ. બાબા સાહેબ ઓપન યુનિ. અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.માં રજીસ્ટ્રાર તરીકે ઉમેદવારી ગેરલાયક ઠેરવાયેલ હતા. હિમાંશુ પટેલ, રજીસ્ટ્રાર – ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશનમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ દરમિયાન થયેલા નાણાંકીય ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે ACBમાં ફરિયાદ નોંધાઈ. શિક્ષણ વિભાગની તપાસ બાદ તેમને IITEના રજીસ્ટ્રાર પદ પરથી દૂર કરાયા હતા. હાલ ACBની તપાસ ચાલુ છે. ખાસ કિસ્સામાં તેમને ગુજરાત વિદ્યાપીઠમાં રજીસ્ટ્રાર તરીકે પસંદ કરાયાની ચર્ચા છે. નિલેશ પંડ્યા, રજીસ્ટ્રાર – ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટીને વિનામુલ્યે મળેલી 30 એકર જમીન સરકારને પરત કરવાનો પ્રસ્તાવ મુકાતા PMO સુધી ફરિયાદ પહોંચ્યાની ચર્ચા છે. આ મુદ્દે તપાસ ચાલુ છે. આ કારણે રજીસ્ટ્રારે રાજીનામું આપ્યું છે, પણ વીસીએ સ્વિકાર્યું નથી. 2022માં ચૂંટણી આચારસંહિતા લાગુ હતી તે દરમિયાન ભરતી થયાનો આક્ષેપ. ભરતી કરનાર પૂર્વ રજીસ્ટ્રાર અમિત જાની સામે સરકારમાં તપાસ ચાલુ હોવાનું કહેવાય છે. ખોટી ભરતીના ભાગરૂપે તેમને તાત્કાલિક દૂર કરાયાનો આક્ષેપ. રજીસ્ટ્રાર પદ યથાવત રહે તે માટે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં વિવાદિત ઠરાવ પસાર કરાવ્યો હોવાનો આક્ષેપ. પદનો દૂરઉપયોગ કરી કર્મચારીને છૂટો કર્યાનો આક્ષેપ, કાર્યકાળ દરમિયાન ગેરરીતિ સંદર્ભે શિક્ષણ વિભાગની તપાસ ચાલુ. ધીરેન પંડ્યા, રજીસ્ટ્રાર – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ2015-16માં ઈતિહાસ ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી દરમિયાન ઈન્ટરવ્યૂ કમિટીના માર્ક્સમાં છેડછાડનો આક્ષેપ છે. મામલો કોર્ટમાં ગયો હતો. સાત વર્ષ બાદ આવેલા ચુકાદામાં શિક્ષણ વિભાગે સંડોવાયેલા તમામ સામે અને રજીસ્ટ્રાર સામે ફોજદારી ફરિયાદ નોંધવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. રમેશ પરમાર, રજીસ્ટ્રાર – ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ અજયસિંહ જાડેજા, રજીસ્ટ્રાર – ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દશરથ જાદવ, રજીસ્ટ્રાર – શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પીયૂષ પટેલ, ઈન્ચાર્જ રજીસ્ટ્રાર – ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શિક્ષણમાં પવિત્રતા જળવાય તે જરૂરી, કસુરવારને બક્ષવામાં નહીં આવેશિક્ષણ વિભાગમાં પવિત્રતા જળવાય તે જરૂરી છે. જે કોઈ રજીસ્ટ્રારની તપાસ ચાલતી હશે તેમાં કસુરવાર ઠરશે તેને બક્ષવામાં નહીં આવે. માત્ર ફરિયાદ આવે એટલે કોઈને તરત જ દોષી ઠરાવવો તે પણ યોગ્ય નથી. કુદરતી ન્યાયના સિદ્ધાંતની તે વિરૂદ્ધ કહેવાય, પૂરતી તક આપ્યા બાદ પગલાં લેવાશે. શિક્ષણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સહન નહીં કરવા મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે. > ત્રિકમ છાંગા, શિક્ષણમંત્રી, રાજ્યકક્ષા
ભારતની મોટી ડિપ્લોમેટિક જીત:92,700 ટન LPG સાથે 2 જહાજ હોર્મુઝ પાર કરી કચ્છના કાંઠે પહોંચશે
પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ અને દરિયાઈ વેપાર પર મંડરાતા ગંભીર જોખમો વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે વિદેશ મંત્રાલયે અત્યંત મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસોના પરિણામે, કુલ 92,700 મેટ્રિક ટન LPG (રાંધણ ગેસ) ભરેલા બે વિશાળ ભારતીય જહાજો - ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ - વિશ્વના સૌથી જોખમી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી કોઈપણ અડચણ વિના સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. આ બંને જહાજો હવે કચ્છના મુન્દ્રા અને કંડલા બંદર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, “સંઘર્ષની શરૂઆતથી જ ભારતે તણાવ ઘટાડવા અને સંવાદ દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. વસ્તુઓ અને ઊર્જાની નિર્બાધ અવરજવર સુનિશ્ચિત કરવી એ ભારતની પ્રાથમિકતા છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત ખાડી દેશો, ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ સહિતના તમામ પ્રમુખ પક્ષો સાથે રાજકીય અને કૂટનીતિક સ્તરે સતત સંપર્કમાં છે. 16-17 માર્ચે બંને જહાજ મુન્દ્રા, કંડલામાં લાંગરશેલેટેસ્ટ મરીન ટ્રેકિંગ ડેટા અને રિપોર્ટ્સ અનુસાર જહાજ ‘શિવાલિક’ 7 માર્ચે કતારથી નીકળ્યું હતું. 16 માર્ચે સવારે મુન્દ્રા પહોંચે તેવી સંભાવના છે. આ સાથે જહાજ ‘નંદા દેવી’ 1 માર્ચે રવાના થયેલું આ જહાજ હાલ ઓમાન-પાકિસ્તાન કોસ્ટ નજીકથી પસાર થઈ રહ્યું છે અને 17 માર્ચે રાત્રે કંડલાના દીનદયાળ પોર્ટ પહોંચશે.જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે. જેથી તે મુન્દ્રા અને કંડલા બંદરે આગામી દિવસોમાં લાંગરશે. કંડલા અને મુન્દ્રા બંદરોએ તૈયારીઓ શરૂ કરીકચ્છના દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પોર્ટ મુન્દ્રા દ્વારા આ બંને જહાજોના આગમનને લઈને તમામ લોજિસ્ટિક તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જહાજ લાંગરતાની સાથે જ ગેસનો જથ્થો સુરક્ષિત રીતે ઓફલોડ કરી તેને દેશના અન્ય ભાગોમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઇન્ડિયન નેવી એક્શન મોડમાંલેટેસ્ટ સેટેલાઇટ ટ્રેકિંગ અને સત્તાવાર અપડેટ અનુસાર ભારતીય નૌકાદળના 3 યુદ્ધજહાજો ગલ્ફ ઓફ ઓમાનમાં પહોંચી ગયા છે. મુન્દ્રા આવી રહેલા LPG ટેન્કર ‘શિવાલિક’ ને હાલમાં ઇન્ડિયન નેવીના આ યુદ્ધજહાજો દ્વારા કડક સુરક્ષા વચ્ચે એસ્કોર્ટ કરવામાં આવી રહ્યું છે. કંડલા આવી રહેલું બીજું ભારતીય જહાજ ‘નંદા દેવી’ પણ ગલ્ફ ઓફ ઓમાનથી પોતાનો માર્ગ બદલીને નૌકાદળના આ સુરક્ષા કાફલામાં જોડાવા માટે આગળ વધી રહ્યું છે.
લૂંટેરી દુલ્હન ગેંગ સામે 5મી ફરિયાદ:હિંમતનગરનારામપુર જાંબુડી ગામના યુવક પાસેથી 4 લાખ ખંખેર્યા
હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગ સામે 5મી ફરિયાદ નોંધાઇ છે. હિંમતનગરના રામપુર (ગોર) ગામે રહેતા 35 વર્ષીય યુવકને લગ્નની લાલચ આપી 4 લાખ પડાવી લગ્નના ચાર મહિનામાં પડોશમાં બેસીને આવું છું કહી રાત્રે દસેક વાગ્યે ફરાર થઇ ગઈ હતી. આ બાદ હિંમતનગરમાં દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતી ઠગ ટોળકીનો સંપર્ક કરતાં પહેલા પાછી લાવી આપીશું કહી સમય પસાર કર્યા બાદ 4 લાખ પરત માંગતા પોલીસ કેસ કરી ફસાવી દેવાની ધમકી આપતાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં આ ટોળકીએ સુવ્યવસ્થિત કાવતરું રચી યુવક સાથે ખોટા લગ્ન કરાવી કુલ 4 લાખની ઠગાઇ આચરી હોવા અંગે પાંચ જણા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. રામપુર જાંબુડી ગામના ઉમેશભાઈ અમરતભાઈ પટેલ (35) ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે ચાર માસ અગાઉ કાંકણોલની સેજલબેન પંચાલ નામની મહિલાએ તેમને ફોન કરી લગ્ન માટે એક છોકરી હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. સેજલબેને સવિતા સુનિલ ભીવનકર નામની યુવતીનો આધારકાર્ડ ફોટો મોકલ્યો હતો. જે ઉમેશભાઈને પસંદ પડતાં તેઓ હિંમતનગરમાં કવિતાબેન સોનીના ઘરે યુવતીને જોવા ગયા હતા. લગ્ન નક્કી કરવાના બદલામાં આ ટોળકીએ ઉમેશભાઈ પાસે 4 લાખની માંગણી કરી હતી. ઉમેશભાઈના ભાઈ અનિલે યુવતી અન્ય જ્ઞાતિની હોવાથી શંકા વ્યક્ત કરી હતી. પરંતુ દલાલ કવિતાબેન અને તેમના પતિ મનોજભાઈ સોનીએ લગ્નની સંપૂર્ણ જવાબદારી લેવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. ગત તા. 12-10-25 ના રોજ સામાજિક આગેવાનોની હાજરીમાં ફૂલહાર પહેરાવી લગ્ન સંપન્ન થયા હતા અને તે જ દિવસે નક્કી થયા મુજબની રકમ ચૂકવી દેવાઇ હતી. જોકે, લગ્નના માત્ર ચારેક મહિનામાં તા. 18-02-26 ના રોજ રાત્રિના દસેક વાગ્યે પત્ની સવિતા બાજુમાં બેસવા જાઉં છું તેમ કહીને ઘર છોડી જતી રહી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કવિતાબેનનો પુત્ર પ્રણવ ગાડી લઈને આવ્યો હતો અને સવિતાને બેસાડીને લઈ ગયો હતો. ઉમેશભાઈએ આ અંગે ટોળકીનો સંપર્ક કર્યો ત્યારે અમે પાછી લાવી આપીશું કહી હૈયાધારણાં આપ્યા બાદ થોડા સમય પછી આરોપીઓએ તેમને જ પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી અને નાણાં પરત કરવાનો ઇનકાર કર્યો હતો. અંતે કંટાળીને ઉમેશભાઈએ સેજલબેન પંચાલ, કવિતાબેન સોની, મનોજભાઈ સોની, પ્રણવ સોની અને સવિતા ભીવનકર વિરુદ્ધ ગાંભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીએનએસની કલમ 316(2), 61(2) અને 54 હેઠળ ગુનો નોંધ્યો હતો. 8 જણાં સાથે કુલ 28.52 લાખની છેતરપિંડીની પાંચ ફરિયાદો નોંધાઇપોલીસની પ્રાથમિક તપાસ અને ફરિયાદની વિગતો મુજબ, આ જૂથ સંગઠિત રીતે લગ્ન વાંચ્છુક પુરુષોને નિશાન બનાવે છે. સેજલબેન અને કવિતાબેન જેવા એજન્ટો કુંવારા યુવકોનો સંપર્ક કરી વિશ્વાસમાં લઈ આ ટોળકી સમાન મોડસ ઓપરેન્ડીથી અત્યાર સુધીમાં નોંધાયેલ 5 ફરિયાદમાં રૂ. 28.50 લાખની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. આ ટોળકી નિર્દોષ લોકોના બોગસ લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવી ચૂકી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ટોળકી નકલી આધારકાર્ડ અને ખોટા દસ્તાવેજો બનાવીને યુવકોના પરિવારને વિશ્વાસમાં લેતી હતી. હાલ હિંમતનગર પોલીસ અન્ય જિલ્લાની પોલીસ સાથે સંકલન સાધીને આ રેકેટમાં જોડાયેલા અન્ય એજન્ટ લૂંટરી દુલ્હનોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં હિંમતનગર એ અને બી ડિવિઝન પોલીસમાં 2, ગાંભોઇ પોલીસમાં 1, મહેસાણાના વડનગર પોલીસમાં 1 અને એક તલોદ પોલીસ સ્ટેશનમાં મળી કુલ 5 ફરિયાદ નોંધાઇ છે. દુલ્હનોને ભાગવામાં મદદ કરવા દીકરાને જોતર્યો, ઊંઢાઇ દીકરીના પણ લગ્ન કરાવી નાણાં સેરવ્યા..ગાંભોઈ ખાતે નોંધાયેલ ફરિયાદમાં પણ હિંમતનગરના મેરેજ બ્યુરો સંચાલક દંપતીનો પુત્ર પ્રણવ મનોજભાઈ સોની ગાડીમાં બેસાડીને સેજલ નામધારી યુવતીને લઈ ગયો હતો. વડનગરના ઊંઢાઈ ખાતે પરણાવેલ મનોજભાઈની દીકરી કોમલ પણ થોડો સમય સાસરીમાં રહ્યા બાદ પરત આવી ગઈ હતી અને પૈસા પરત ન આપી તેના પરિવારે ધમકીઓ આપી હતી. આમની સામે ફરિયાદ:સેજલબેન મહેશભાઈ પંચાલ (એજન્ટ-કાંકરોલ) કવિતાબેન મનોજભાઈ સોની (બ્યુરો સંચાલક - હિંમતનગર)મનોજભાઈ બાબુલાલ સોની (બ્યુરો સંચાલક - હિંમતનગર) પ્રણવ મનોજભાઈ સોની (બ્યુરો સંચાલકનો પુત્ર) સવિતા સુનિલ ભીવનકર (લૂંટેરી દુલ્હન) કુલ 18 ની ગેંગ, હજુ વધુ નામ ખૂલવાની વકી :
લોક અદાલત:સાબરકાંઠા લોક અદાલતમાં 11263 કેસોનો નિકાલ કરાયો
સાબરકાંઠા જિલ્લામાં વિવિધ અદાલતોમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 11,263 કેસોનો નિકાલ કરાયો હતો. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કે.આર. રબારી અને સચિવ સી.પી. ચારણના વડપણ હેઠળ યોજાયેલી આ કામગીરીમાં અકસ્માત વળતરથી લઈ ટ્રાફિક ચલણ સુધીના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવ્યું હતું. મોટર અકસ્માતના 53 કેસોમાં પક્ષકારોને 3,67,85,000 નું વળતર અપાવવાના આદેશો કરાયા હતા. જિલ્લાની મેજિસ્ટ્રેટ કોર્ટોમાં વર્ષોથી ચાલતા 7,218 કેસોમાં સમાધાન થતાં રૂ. 20,73,53,590 ની રકમની પતાવટ થઈ હતી. કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાના તબક્કે જ બેંક લેણાં, વીજ બિલ અને ટ્રાફિક ઈ-ચલણ જેવા 4,045 કેસોમાં રૂ. 1,33,28,174.65 ની રકમનું નિરાકરણ લવાયું હતું.
વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં ગરમીનો પારો સવા ડિગ્રી ઘટ્યો
ઉત્તર ગુજરાતમાં અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે શનિવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે પશ્ચિમ દિશાથી સરેરાશ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. અરબ સાગર તરફથી આવતાં પવનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 20 થી 50 ટકાની વચ્ચે નોંધાયું હતું. ભેજ વધતાં દિવસ અને રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. લઘુત્તમ તાપમાનમાં લગભગ એક ડિગ્રીનો વધારો નોંધાતા ઠંડીનો પારો 21 થી 21.5 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો, જેના કારણે ઠંડીનું જોર સામાન્ય ઘટ્યું હતું. બીજી તરફ ભેજના કારણે મહત્તમ તાપમાનમાં આશરે સવા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 37.5 થી 37.8 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. 38 ડિગ્રીથી નીચે તાપમાન રહેતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મોટાભાગના ચા અને નાસ્તાની લારીઓ વાળા ઘરેલું સિલિન્ડર વાપરવા મજબૂર
ઇરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધના કારણે ભારત સહિત ગુજરાતમાં એલપીજીની અછત વર્તાઇ રહી છે. ગેસ સિલિન્ડરના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે નાના વેપારીઓ અને સામાન્ય જનતાની હાલત કફોડી બની છે. કોમર્શિયલ સિલિન્ડરના અભાવે નાના ધંધાર્થીઓ હવે મજબૂરીવશ ઘરેલું ગેસનો વપરાશ કરવા પ્રેરાયા છે. અગાઉ જે વેપારીઓ આખો દિવસ ગેસ ચાલુ રાખતા હતા. તેઓ હવે ચા બનાવીને સીધી ગરમ કિટલી (થર્મોસ)માં ભરી લે છે. ગેસની એવી તંગી છે કે થર્મોસમાં ચા પૂરી થઇ ગયા બાદ જો કોઈ એક જ ગ્રાહક ચા પીવા આવે તો વેપારી ચા બનાવવાની ના પાડી દે છે. અશ્વિનભાઈ ભીલનું કહેવું છે કે જ્યાં સુધી ઘરેલું ગેસની વ્યવસ્થા છે ત્યાં સુધી ધંધો ચાલશે. બોટલ બુક કરાવવા 2 થી 3 કલાક પ્રયત્ન કરવો પડે છે એક જ સિલિન્ડરથી ધંધોપણ ચલાવું છું અને ઘર પણદિલીપભાઈ નામના વેપારીએજણાવ્યું કે તેઓ ઘરનો ગેસનોબાટલો વાપરે છે તેથી લારીવહેલી બંધ કરવી પડે છે. કારણ કેઆ જ સિલિન્ડર ઘરે લઈ જઈનેરાતનું જમવાનું બનાવવાનું હોયછે. આ ઉપરાંત બપોરનું જમવાનુંપણ વહેલી સવારે બનાવી લેવુંપડે છે. જેથી સવારે ધંધાના સમયેલારી ખોલી શકાય.
હિંમતનગરમાં જાગો ગ્રાહક જાગો ઉપર સેમિનાર:ખરીદી કરતી વખતે બિલ લેવું માલની ગુણવત્તા પણ ચકાસવી
વિદ્યાનગરી જી.જે. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં જાગો ગ્રાહક જાગો જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાતાં વિદ્યાર્થીઓને ગ્રાહક તરીકે પોતાના હક્કો અને જવાબદારીઓ વિશે માહિતગાર કરાયા હતા. સેમિનારમાં ભારતીય ઉપભોગતા મહાસંઘના અધ્યક્ષ અને ગ્રાહક અદાલતના જજ તરીકે પ્રીતિબેન પંડ્યાએ સમજાવ્યું કે ખરીદી કરતી વખતે બિલ લેવું, માલની ગુણવત્તા ચકાસવી MRP અને ઉત્પાદન તારીખ જોવી ખૂબ જરૂરી છે. સાથે જ કોઈ પ્રકારની છેતરપિંડી થાય તો ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા વિશે પણ માર્ગદર્શન અપાતાં વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ તેમને સલામત અને યોગ્ય કિંમતમાં વસ્તુઓ મેળવવાનો અધિકાર છે. સેમિનારમાં સંસ્થાના પ્રમુખ ડો.ડી.એલ. પટેલ, સીઈઓ ગૌરવભાઈ દરજી, આચાર્ય જીગર જોષી, મીનલ જોષી હાજર હતા.
શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા જવાહર રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ખોદકામને કારણે સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી છે. આ માર્ગ ખોદી નાખવામાં આવતા હાલ અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે. ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે યુથ કોંગ્રેસના પ્રમુખ મિહિર મહેતા અને સ્થાનિક ભાઈ-બહેનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં 'વચન નહીં હવે કામ જોઈએ' અને 'જાગો કોર્પોરેટર જાગો' જેવા લખાણવાળા પોસ્ટરો સાથે મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે ખોદકામ વહેલી તકે પૂર્ણ કરી નવો રોડ તાત્કાલિક બનાવવામાં આવે, જેથી વિસ્તારના લોકોને નર્ક જેવી સ્થિતિમાંથી મુક્તિ મળે. એમ.જી રોડ : વેપારીઓ સવારે દુકાનો ખોલવા આવ્યા ત્યારે રોડ ખોદાયેલો હતો શહેરના મુખ્ય વેપારી વિસ્તાર ગણાતા એમ.જી. રોડ પર તંત્ર દ્વારા પૂર્વ જાણ વગર રાતોરાત રોડનું ખોદકામ કરી નાખતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સવારે વેપારીઓ જ્યારે ધંધા-રોજગાર માટે પહોંચ્યા ત્યારે રસ્તો ખોદાયેલો હોવાથી ગ્રાહકોને આવવા-જવામાં અને વાહન પાર્કિંગમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. પૂર્વ આયોજન વગરના કામને લીધે વેપારીઓના ધંધા પર માઠી અસર પડી છે.
જૂનાગઢ મનપાના પૂર્વ સિનિયર કોર્પોરેટર અને ભાજપના નેતા હસમુખ ખેરાડાની એક સોશિયલ મીડિયા પોસ્ટથી અત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કારણ કે, યુદ્ધની સ્થિતિ વચ્ચે જ્યારે ગેસના બાટલાની અછતનો ડર ફેલાયો છે અને સરકાર પોતે આવી કોઈ શોર્ટેજ ન હોવાનો દાવો કરી રહી છે ત્યારે જૂનાગઢમાં ભાજપના પૂર્વ નગર સેવક અને વર્તમાન નગરસેવિકાના પતિ હસમુખ ખેરાડાએ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી છે કે, જો કોઈના ઘરે મહેમાન બનીને જાઓ, તો પહેલા એમને પૂછજો કે ગેસનો બાટલો છે ? આ વાત પાછળનો કટાક્ષ સ્પષ્ટ છે કે, જે રીતે મોંઘવારી અને અછતનું ''પેનિક'' સર્જાયું છે, તેમાં હવે મહેમાન આવતા હોય તો યજમાનને આનંદને બદલે ગેસ ખલાસ થઈ જવાની ચિંતા પહેલા થાય છે. એક તરફ ભાજપ સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રી ગાઈ-વગાડીને કહી રહ્યા છે કે ગુજરાતમાં કોઈ પણ ચીજવસ્તુની અછત નથી અને બધું જ નિયંત્રણમાં છે, ત્યારે ભાજપના જ બે ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા નેતાની આ પોસ્ટ સરકારના દાવાઓની હવા કાઢી રહી છે.
દેશી દારૂ ઝડપાયો:મકાનમાંથી 96 હજારનો દેશી દારૂ જપ્ત
પંચેશ્વર વિસ્તારમાં રહેતો અમરા સાજણ કોડીયાતર નામનો શખ્સ મેઘાણીનગર પાસે, બધેશ્વર મહાદેવ મંદિરના પાણીના ટાંકાની સામે આવેલા એક પડતર મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે શુક્રવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પડતર મકાનના રૂમમાંથી પ્લાસ્ટિકના 16 બાચકાઓમાંથી દેશી દારૂના 96 બુંગીયા મળી આવ્યા હતા. આરોપી અમરા સાજણ કોડીયાતર સ્થળ પર હાજર મળી ન આવતા રૂપિયા 96,000નો 480 લિટર દેશી દારૂ કબજે લઈ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
વિદેશી દારૂ ઝડપાયો:ઝાડી-ઝાં ખરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર
બીલખાના નવા પીપળીયામાં રેઇડ પાડી પોલીસે ઝાડી-ઝાંખરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ રૂપિયા 9,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બુટલેગર ફરાર થઇ જતાં તપાસ હાથ ધરી હતી. બીલખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બીલખા નજીકના નવા પીપળીયા ગામે રહેતો સંજય શાર્દુલભાઈ લાલુ પોતાના રહેણાંક મકાનની સામે આવેલા અવાવરુ ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખેલ છે. બાતમીવાળી જગ્યાએ પોલીસે દરોડો પાડતા, બોરડીના ઝાડ નીચે સંતાડેલા બે પૂંઠાની પેટી મળી આવી હતી. આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેટીઓમાંથી ઇંગ્લિશ દારૂના 96 ચપટા હાથ લાગ્યા હતા. જોકે, દરોડા દરમિયાન આરોપી સંજય શાર્દુલભાઈ લાલુ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
હુમલાની ઘટના આવી સામે:સરદારપરામાં થાર લઈને આવેલી મહિલાએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો
શહેરના સરદારપરા વિસ્તારમાં અગાઉની માથાકૂટના મનદુઃખથી થાર લઈને આવેલી મહિલાએ વેપારીના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો અને ધમકી પણ આપી હતી. સરદારપરા મેઇન રોડ પ્રફુલ ચોક પાસે રહેતા 50 વર્ષીય વેપારી જયદિપસિંહ કરણસિંહ સરવૈયાના પુત્ર દિગ્વિજયસિંહને બે દિવસ પહેલા દેવલબેન પ્રવિણભાઈ કાચાના ભાઈ જયરાજ સાથે બોલાચાલી થઈ હતી. જે તે સમયે વડીલોએ મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું, પરંતુ દેવલબેને આ બાબતનું મનદુઃખ રાખ્યું હતું. શુક્રવારે રાત્રે દેવલબેન પોતાની લાલ રંગની જીજે 06 પીઇ 8154 નંબરની થાર ગાડી લઈને જયદિપસિંહના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોરજોરથી રાડો પાડી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે વેપારીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાએ ઉશ્કેરાઈને ફોન પર અન્ય લોકોને બોલાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ જબરજસ્તીથી ઘરમાં ઘૂસી જઈ જયદિપસિંહના પત્ની ધર્મિષ્ઠાબા પર હુમલો કરી ઝપાઝપી કરી હતી. એટલું જ નહિ મહિલાએ વેપારી અને તેમના ભાઈ હરપાલસિંહને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હંગામા દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ જતાં અને પોલીસ હેલ્પલાઇન 112 પર જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મહિલા તથા વેપારી વગેરેને પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે જયદિપસિંહ કરણસિંહ સરવૈયાની ફરિયાદ લઈ મહિલા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અમેરિકા ઇઝરાઇલ અને ઈરાન યુદ્ધની સ્થિતિને લઈ રાજ્યમાં LPGના પુરવઠા સામે વધતી માંગને પહોંચી વળવા સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં વર્ષોથી રેશનિંગમાં બંધ કરાયેલા કેરોસીનનું વિતરણ ફરી શરૂ કરી ગ્રામીણ વિસ્તારોમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગુજરાતને વધારાનો 1452 KL કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જેમાં રાજ્યના દરેક જિલ્લાને કલેક્ટર હસ્તક ગ્રામ્ય વિસ્તારો માટે 36,000 લીટર (36 KL) કેરોસીન ફાળવવામાં આવ્યું છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશ માટે કરવાનો રહેશે. ખાસ કરીને અંતરિયાળ ગામડાઓના પરિવારો, શાળાની હોસ્ટેલો, મધ્યાહ્ન ભોજન અને વૃદ્ધાશ્રમોને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે. પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થાને 25 લિટર મળશે નવી માર્ગદર્શિકા મુજબ, કલેક્ટરો દ્વારા જરૂરિયાત મુજબ આ જથ્થો મંગાવી શકશે. જેમાં સામાન્ય પરિવાર દીઠ 5 લીટર અને સેવાકીય સંસ્થાઓને 25 લીટર સુધી કેરોસીન મળી શકશે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં PNG નેટવર્ક મજબૂત હોવાથી ત્યાં કોમર્શિયલ અને ઘરેલું વપરાશકારોને PNG કનેક્શન પર ભાર મૂકવા જણાવ્યું છે. ઇંધણની અછત દૂર કરવા માંગ પ્રમાણે કેરોસીન મંગાવી વિતરણ કરાશેપ્રશ્ન: અંતરિયાળ ગામડાના લોકો માટે જઆ વ્યવસ્થા છે?જવાબ: હા, જે લોકો પાસે સગવડતા નથીતેમની માટે વ્યવસ્થા છે. પ્રશ્ન: ક્યારથી કેરોસીનનું વિતરણ શરૂથશે?જવાબ: ગ્રામીણ વિસ્તારમાં કેરોસીનનીજરૂરિયાત છે તેવી માગણી આવશે તો અમેગાડી મંગાવીશું. પ્રશ્ન: જિલ્લાને કેટલા લીટર કેરોસીનમળશે?જવાબ: જરૂરિયાત પ્રમાણે મળશે તેમાંકોઈ લિમિટ નથી.1200 લીટર નું ટેન્કરઆવે છે. તેટલી માગણી આવે તે પ્રમાણેઓર્ડર આપીશું. પ્રશ્ન :સરકારે કેરોસીન ફાળવી દીધું છે?જવાબ: હા, સરકારે કેરોસીન ફાળવી દીધુંછે. પ્રશ્ન: કેરોસીન નો જથ્થો જિલ્લાને મળીગયો છે?જવાબ: કેરોસીન ની હજુ આપણી પાસેમાગણી આવી નથી જથ્થો મંગાવીશું પછીઆપણને મળશે. પ્રશ્ન:વિતરણ માટે ની કઈ રીતે વ્યવસ્થાકરવામાં આવશે?જવાબ: જે લોકો પાસે સ્ટોરેજની વ્યવસ્થાહશે એટલે કે જેની પાસે 200 લીટરસ્ટોરેજના પીપ હશે તે લોકોને પ્રથમપ્રાથમિકતા આપીશું પરંતુ સગવડતાનીસાથે તેમના ભૂતકાળની હિસ્ટ્રી જોઈનેનિર્ણય લેવાશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કોમર્શિયલ ગેસના બાટલાના અભાવે પોરબંદરમાં 25 ટકા રેસ્ટોરન્ટ બંધ થયા
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુધ્ધને પગલે ગેસની અછત સર્જાતા પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલા મળતા બંધ થવાને કારણે 25 ટકા રેસ્ટોરન્ટ બંધ થયા છે બાકીના 22 રેસ્ટોરન્ટ પાસે દોઢ થી 2 દિવસ ચાલે તેટલો ગેસ છે, જ્યારે 12 જેટલી ખાણીપીણીની લારીઓ બંધ થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધને પગલે એલપીજી ગેસની કટોકટી પોરબંદરમાં વર્તાઈ છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક ન હોવાને કારણે રેસ્ટોરન્ટ ધારકો અને ખાણીપીણીના લારી ધારકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધંધાઓ ચોપટ થઈ રહ્યા છે. ધંધાર્થીઓ પાસે હવે કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક પણ ન હોવાને કારણે રજા રાખવી પડે તેવી સ્થિતિ સર્જાણી છે. તેવા સંજોગોમાં હાલ પોરબંદરના 25 ટકા રેસ્ટોરન્ટ કોમર્શિયલ ગેસના બાટલા ન હોવાથી બંધ કર્યા છે. અને જે 22 રેસ્ટોરન્ટ ખુલ્લા છે તે રેસ્ટોરન્ટ પણ ગેસના બાટલાનો સ્ટોક ન હોવાથી દોઢ થી બે દિવસમાં બંધ થવાની કગાર પર ઉભા છે. રેસ્ટોરન્ટના સંચાલકે જણાવ્યું હતુ કે, હવે શનિવારે એક જ બાટલો હોવાથી સાંજે રેસ્ટોરન્ટ ખુલશે નહીં તેવી સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે ખાણીપીણીના લારી ધારકો પાસે પણ કોમર્શિયલ ગેસનો બાટલો પૂરો થતા 12 જેટલી લારી બંધ કરી છે. લારી ધારકોએ જણાવ્યું હતુ કે ગેસનો બાટલો ખાલી થતા ફરજિયાત પણે લારી બંધ કરી દેવાનો વારો આવ્યો છે. કોમર્શિયલ ગેસની અછતના કારણે ખાણીપીણીના લારી ધારકો અને રેસ્ટોરન્ટ ધારકો ચિંતિત બન્યા છે. રેસ્ટોરન્ટ ધારકોએ જણાવ્યું હતુ કે, કેટલાક રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ અને ગુજરાતી વાનગી બંધ કરી દેવામાં આવી છે તો લારી ધારકો પણ પોતાની લારીમાં ખાણીપીણીની આઇટમ અને જથ્થો ઘટાડી દેવામાં આવ્યો છે. બાટલા લખાવ્યા હોવાથી આવે ત્યારે રેસ્ટોરન્ટ ચાલુ કરી દેવાશે પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલાની કટોકટી સર્જાતા હાલ 8 જેટલા રેસ્ટોરન્ટ બંધ કર્યા છે અને જે રેસ્ટોરન્ટ ખાતે બાટલા છે તે પૂરા થશે ત્યારે બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય એ છે કે રેસ્ટોરન્ટમાં બાટલાના કનેક્શન વધુ આપેલા હોય છે. કટોકટી સર્જાતા ધારકોએ બાટલા લખાવ્યા છે જેથી બાટલા આવશે ત્યારે રેસ્ટોરન્ટ તાકીદે શરૂ કરી દેવામાં આવશે તેવું રેસ્ટોરન્ટના ધારકોએ જણાવ્યું હતું. એકટાણું શરૂ કરશેપોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક પૂરોથતા કેટલાક રેસ્ટોરન્ટ ખાતે હયાત સ્થિતિને પગલેબપોરે રેસ્ટોરન્ટ ચાલુ અને રાત્રે બંધ રાખવામાંઆવે તે પ્રકારે એકટાણું રેસ્ટોરન્ટ ચાલુ કરવામાંઆવશે તેવું રેસ્ટોરન્ટના ધારકોએ જણાવ્યું છે.

31 C