SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિક્ષકોને “રૂટ સુપરવાઈઝર”ની ફરજ:શૈક્ષિક મહાસંઘનો કડક વિરોધ, ઓર્ડર રદ કરવાની માંગ

સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વ દરમિયાન યાત્રાળુઓની વ્યવસ્થા માટે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકોને રૂટ સુપરવાઈઝર તરીકે ફરજ સોંપવાના આદેશને લઈને વિવાદ ઊભો થયો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેષ ભટ્ટે આ નિર્ણયને લઈને કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, રાજ્ય બહારથી ખાસ કરીને દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ સોમનાથ દર્શન માટે આવી રહ્યા છે. આ યાત્રાળુઓને રેલવે સ્ટેશન પરથી લેવા, તેમની ગણતરી કરવા, બસોમાં બેસાડવા, બસની વ્યવસ્થા જાળવવા, પાણી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તેમજ તેમને સોમનાથ સહિત આસપાસના ધાર્મિક સ્થળોએ સુરક્ષિત રીતે પહોંચાડવા જેવી જવાબદારીઓ શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકોને પેપર ચેકિંગ સાથે ચૂંટણીની કામગીરી પણ સોંપાઈમહાસંઘના જણાવ્યા મુજબ આ કામગીરી શિક્ષણ સાથે કોઈ સંબંધ ધરાવતી નથી અને એક રીતે બસ કંડકટર અથવા રૂટ મેનેજરની ફરજ સમાન છે. શિક્ષકોને આવા બિનશૈક્ષણિક કામમાં જોડવાથી શૈક્ષણિક વ્યવસ્થામાં ખલેલ પડે છે. હાલમાં રાજ્યમાં પરીક્ષાઓ પૂર્ણ થવાના તબક્કે છે, જ્યાં શિક્ષકો મૂલ્યાંકન, પેપર ચકાસણી અને પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. સાથે-સાથે ચૂંટણીની કામગીરી માટે પણ શિક્ષકોને ફરજ સોંપવામાં આવી રહી છે. આવા વ્યસ્ત સમયગાળામાં શિક્ષકોને વધારાની ફરજ આપવી અન્યાયપૂર્ણ હોવાનું મહાસંઘે જણાવ્યું છે. મહાસંઘે વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પણ શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી સોંપાતા વ્યાપક વિરોધ થયો હતો. ત્યારબાદ સરકાર સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે, આવું કોઈપણ કાર્ય સોંપતાં પહેલાં શિક્ષણ સચિવની મંજૂરી લેવી જરૂરી રહેશે. હાલના આદેશમાં તે પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં તે પણ પ્રશ્નાર્થ બની રહ્યું છે. જો આ મુદ્દે યોગ્ય નિર્ણય નહી લેવાય તો આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરાશેમિતેષ ભટ્ટે જણાવ્યું કે, શિક્ષકો દેશહિત અને સમાજહિતના કાર્ય માટે હંમેશા તૈયાર રહે છે પરંતુ, હાલ જે રીતે ત્રણથી ચાર દિવસ સુધી સવારે વહેલા રેલવે સ્ટેશન પર હાજર રહી યાત્રાળુઓને માર્ગદર્શન આપવું, બસ વ્યવસ્થા સંભાળવી અને દિવસભર ફરજ બજાવવી જેવી કામગીરી સોંપવામાં આવી છે, તે શિક્ષકોના મૂળ કાર્યથી વિમુખ કરે છે. આ નિર્ણય શિક્ષકોમાં અસંતોષ ફેલાવતો હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના બંને શિક્ષણ મંત્રીઓને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ આદેશ રદ કરવાની માંગ કરી છે. મહાસંઘે ચેતવણી આપી છે કે, જો આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યભરમાં શિક્ષકો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:26 pm

અલ્પેશ ઠાકોરે વડગામ-પાલનપુરમાં સભાઓ સંબોધી:ઠાકોર મતદારોને રીઝવવા પ્રયાસ, કોંગ્રેસના 200 કાર્યકરો BJPમાં જોડાયા

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે વડગામ અને પાલનપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે ભાજપે આ રણનીતિ અપનાવી છે. આજે અલ્પેશ ઠાકોરે વડગામ અને પાલનપુરમાં જંગી સભાઓ સંબોધી હતી. આ સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ખાસ કરીને ઠાકોર સમાજના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપ આ ચૂંટણીમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડી રહ્યું છે. પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ અને તેની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગેનીબેન ઠાકોરના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું કે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ વિરોધ કર્યો હતો. ઠાકોરે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની માનસિકતા મહિલાઓને આગળ વધવા દેવાની નથી અને મહિલાઓ સામે અન્યાય કરવાની છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કેન્દ્ર સરકારે મહિલા આરક્ષણ બિલ લાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો, જે તેમની વિચારધારા સ્પષ્ટ કરે છે. આ મુદ્દે ભાજપ ચૂંટણીમાં મહિલાઓના સશક્તિકરણનો એજન્ડા આગળ ધપાવી રહી છે. આ બધા વચ્ચે વડગામમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને કોંગ્રેસના 200થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા છે. આ જોડાણથી ભાજપને ચૂંટણીમાં વધુ મજબૂતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે રાજકીય આરોપ-પ્રત્યારોપ સાથે સામાજિક સમીકરણોનું મહત્વ વધતું જઈ રહ્યું છે. વડગામ અને પાલનપુરમાં ભાજપની આ રણનીતિ કેટલી અસરકારક સાબિત થશે, તે તો આવનારા પરિણામોમાં જ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:23 pm

ગોરવાની ખાનગી હોસ્પિટલમાં આગ, 6 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા:ACમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ બેડ સુધી ફેલાતા દોડધામ મચી

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના એક રૂમમાં એર કન્ડિશનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીમાં લાગેલી આગ બેડ સુધી ફેલાઈઆ આગ લાગ્યાની પ્રાથમિક માહિતી મળતાં ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એર કન્ડિશનરમાંથી શરૂ થઈને નીચેના ગાદલા સુધી ફેલાઈ હતી. આ આગ હોસ્પિટલમાં લાગી હોવાથી હાજર સ્ટાફ અને દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હોસ્પિટલ સ્ટાફ અને ફાયરની સતર્કતાથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ અંગે ટીપી 13 ફાયર સ્ટેશનના સબ ઓફિસર મનોજ સીતાપરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જનરલી એસીમાં આગ લાગી હતી. સાથે બેડના ગાદલામાંઆગ સ્પ્રેડ થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દીઓ હાજર નહોતા. અમારા આવ્યા પહેલાં જ 6 પેશન્ટને સેફ્લી નીચે ઉતારી લીધા હતા. 6 દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લેવાતા જાનહાનિ અટકીઆ અંગે હોસ્પિટલના કર્મી આનંદ પટેલે જણાવ્યું કે, એક-દોઢ કલાક પહેલાં દર્દીએ એસીની સ્વીચ ચાલુ કરી ત્યારે સ્પાર્ક થયો અને તણખા સાથે ધુમાડો શરૂ થયો હતો. તરત જ આ રૂમમાં રહેલા દર્દીને બહાર શિફ્ટ કરી દીધા હતા.એસી ચાલુ હોવાથી અને બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ ભેગો થઈ ગયો અને દરવાજામાંથી હોસ્પિટલની અંદર ફેલાયો હતો. સ્ટાફે તરત જ ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગને કાબૂમાં લાવી લીધી હતી. આ આગમાં કુલ 6 દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા એસી, બે ગાદલા અને એસીની નીચેનું થોડું ફર્નિચર બળી ગયું છે. બાકીના વિસ્તારમાં કોઈ નુકસાન થયું નથી, માત્ર ધુમાડાથી રૂમ કાળી પડી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:19 pm

સુરેન્દ્રનગરમાં મતદાર જાગૃતિ અભિયાન:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે EVM નિદર્શન કાર્યક્રમ યોજાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત સઘન મતદાર જાગૃતિ અભિયાન અને EVM નિદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવાનો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓમાં નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. મતદાર જાગૃતિ અભિયાન (SVEEP) દ્વારા લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સક્રિય સહભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અભિયાનના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ તાલુકાઓની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં મતદાર જાગૃતિ અંગેની રેલીઓ, આકર્ષક રંગોળીઓ, પ્રેરણાદાયી સ્લોગન, ચિત્ર સ્પર્ધા અને પોસ્ટર પ્રદર્શનનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે સભાનતા કેળવવામાં આવી રહી છે. વધુમાં, જિલ્લાના તમામ ચૂંટણી અધિકારીઓના સંકલન હેઠળ ઝોનલ અધિકારીઓ દ્વારા જાહેર સ્થળોએ EVM મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશન દ્વારા સામાન્ય જનતામાં EVM દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા અંગેની મૂંઝવણો દૂર કરવાનો અને પારદર્શિતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા વિવિધ માધ્યમોથી મતદારોને જાગૃત કરીને આગામી ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:16 pm

શક્તિ અને ભક્તિનો સંગમ:CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાને શાસ્ત્રોક્ત વિધિથી પ્રસ્થાન કરાવ્યું, ઠેર-ઠેર યાત્રાનું સ્વાગત કરાયું

આજે ભગવાન પરશુરામની જન્મ જયંતિના પવિત્ર અવસરે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ અને આસ્થા સાથે ભગવાન પરશુરામની યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પરશુરામ માત્ર શસ્ત્રના જ નહીં પરંતુ શાસ્ત્રના પણ જ્ઞાતાભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે આયોજિત આ શોભાયાત્રા ગાંધીનગરના વિવિધ માર્ગો પર ફરે તે પૂર્વે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, ભગવાન પરશુરામ માત્ર શસ્ત્રના જ નહીં પરંતુ શાસ્ત્રના પણ જ્ઞાતા હતા. તેમના જીવનમાંથી સામાજિક ન્યાય અને ધર્મના રક્ષણની પ્રેરણા મળે છે. બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ પરંપરાગત યાત્રા સમાજમાં એકતા અને સંવાદિતાના સંદેશને મજબૂત બનાવે છે. આ ગરિમામય કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર બ્રહ્મ સમાજના પ્રમુખ અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ પણ યાત્રામાં જોડાઈને ભગવાન પરશુરામના આશીર્વાદ લીધા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ પવિત્ર દિવસે જનતાને શુભકામનાઓ પાઠવી હતી. યાત્રાનો મુખ્ય હેતુ સંસ્કૃતિના વારસાથી અવગત કરાવવાનો ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કેસરીયા ધ્વજ, વાજતે ગાજતે નીકળેલી સવારી અને જય પરશુરામના નાદથી સમગ્ર વાતાવરણ શ્રદ્ધાના રંગે રંગાયું હતું. યાત્રાના માર્ગ પર ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા.જ્યાં પુષ્પવર્ષા કરીને ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના બ્રહ્મ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે સમય ફાળવીને યાત્રાને પ્રસ્થાન કરાવી તે સમાજ માટે ગૌરવની બાબત છે. આ યાત્રાનો મુખ્ય હેતુ આવનારી પેઢીને આપણા ધર્મ અને સંસ્કૃતિના વારસાથી અવગત કરાવવાનો છે. આ શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક અને સુરક્ષાની જાળવણી માટે ગાંધીનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રુટ મેનેજમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. જેથી કોઈ પણ પ્રકારની અવરોધ વગર યાત્રા નિર્ધારિત માર્ગો પર સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:15 pm

​ભગવાન પરશુરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:111 કુંડી મહાવિષ્ણુ યાગ અને ભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

આજે અખાત્રીજ અને ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢમાં ભક્તિ અને સંગઠનનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આ પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર શહેર 'જય પરશુરામ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. દિવ્ય પ્રસંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાઆ ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા 111 કુંડી મહાવિષ્ણુ યાગનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ યજ્ઞમાં બ્રહ્મ અગ્રણીઓએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ દિવ્ય પ્રસંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ યાત્રામાં હજારો ભૂદેવો જોડાયા હતાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સુશોભિત રથ, પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને ડીજેના તાલે નીકળેલી આ યાત્રામાં હજારો ભૂદેવો જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રા પર વિવિધ સામાજિક અને હિન્દુ સંગઠનો દ્વારા પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા જ્યારે આઝાદ ચોક પહોંચી ત્યારે જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક દ્વારા તેનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ અગ્રણી જયદેવભાઈ જોશીએ આ તકે જણાવ્યું હતું કે, રઘુવંશી અગ્રણી ડોલરભાઈ કોટેચા ખાસ અમદાવાદથી પોતાની જવાબદારીઓ છોડીને આ પ્રસંગે હાજર રહ્યા તે સમાજ માટે ગૌરવની વાત છે. અખાત્રીજના પવિત્ર દિવસે ભૂદેવોના આશીર્વાદ મેળવીને હું ધન્યતા અનુભવું છુંરઘુવંશી અગ્રણી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, અખાત્રીજના પવિત્ર દિવસે ભૂદેવોના આશીર્વાદ મેળવીને હું ધન્યતા અનુભવું છું. બ્રહ્મ સમાજ દ્વારા આટલું સુંદર આયોજન ખરેખર પ્રશંસનીય છે. આ કાર્યક્રમે જૂનાગઢમાં સામાજિક એકતા અને ધાર્મિક શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:02 pm

ગોધરા પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બનાવી ખાસ ટ્રોલી:લિફ્ટ વગરની જગ્યાએ સામાન લઈ જવા માટે ઉપયોગી

ગોધરા સરકારી પોલિટેકનિકના મિકેનિકલ વિભાગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ 'ઓટોમેટેડ સ્ટેરકેસ ક્લાઈમ્બિંગ ટ્રોલી' તૈયાર કરી છે. આ ટ્રોલીનો મુખ્ય ઉદ્દેશ્ય એવી જગ્યાઓ પર સામાનની હેરફેર સરળ બનાવવાનો છે જ્યાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી. આ ઇનોવેટિવ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલી ટ્રોલી સીડી પર ઉપર-નીચે સામાન લઈ જવા સક્ષમ છે. તેમાં ત્રણ-સ્ટાર વ્હીલ સિસ્ટમનો ઉપયોગ થયો છે, જેમાં એક વ્હીલ સીડીને સપોર્ટ કરે છે, બીજું આગળ વધવામાં મદદ કરે છે અને ત્રીજું સંતુલન જાળવી રાખે છે. ટ્રોલીના નિર્માણમાં મુખ્યત્વે ડીસી મોટર, બેટરી, સ્વિચ, ફ્રેમ અને ચેન સ્પોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આશરે ૧૨ થી ૧૩ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ પાંચમા સેમેસ્ટરમાં શરૂ થયો હતો, જેમાં સાહિત્ય સમીક્ષા અને આઈડિયા જનરેશન પર કામ કરાયું. છઠ્ઠા સેમેસ્ટર દરમિયાન તેનું મોડલ પૂર્ણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ પાંચ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં અભિષેક સોલંકીએ લીડર તરીકે જવાબદારી સંભાળી હતી. તેમને ગાઈડ તરીકે નાયર મેમનું માર્ગદર્શન મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:54 pm

રીલના ચક્કરમાં રોડ પર ચક્કાજામ કરતા 4 સામે ફરિયાદ:સંસ્થાના પ્રમોશન માટે થાર અને બાઈક વચ્ચે અકસ્માતનો સીન ક્રિએટ કરી અન્ય વાહનચાલકોમાં ડરનો માહોલ સર્જયો

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો દ્વારા વિવિધ સંસ્થાના પેઈડ પ્રમોશન માટે અલગ અલગ તરકીબો અજમાવતા હોય છે. અમદાવાદ શહેરમાં આવાજ એક પેઈડ પ્રમોશન માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે રસ્તા પર જામ કરી કાયદાના ધજાગરા ઉડાવતા પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અકસ્માતનો સીન ક્રિએટ કર્યો!સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર દ્વારા એક સંસ્થાના પેઈડ પ્રમોશન માટે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં થાર કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો સીન ક્રિએટ કર્યો હતો. આ ઘટનાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને અન્ય વાહનચાલકોમાં ડરનો માહોલ છવાયો હતો. શું છે વાઈરલ વીડિયોમાં?સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં રસ્તાની વચ્ચોવચ એક થાર અને એક બાઈક પડેલી જોવા મળી રહી છે. એક યુવતી અને ત્રણ યુવકો ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળી રહ્યા છે. આ સમયે જ રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા દેખાઈ રહ્યા છે. વાહનચાલકોમાં ભય પેદા કરી ટ્રાફિકમાં અડચણ ઉભી કરનારાઓ સામે ગુનો નોંધાયોસોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો બાદ પોલીસે એક થાર ફોર-વ્હીલર ગાડી નંબર GJ-12-FF-6115ના ચાલક તથા એક રોડ ઉપર પડેલ મો.સાના ચાલક તથા ત્યાં એડ(જાહેરાત) કરવા ઉભેલ બે અન્ય વ્યક્તિઓ સહિત ચાર સામે ગુનો નોંધી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. તમામે ભેગા મળી પોતાના કબ્જાના વાહનો જાહેર રોડ ઉપર સરિયામ ઉભા રાખી અન્ય આવતા જતા વાહન ચાલકોમાં ભય ઉભો કરી ટ્રાફિક અડચણ ઉભી કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:52 pm

સુરેન્દ્રનગરમાં EVM ડેમોસ્ટ્રેશન શરૂ:મતદારોને મતદાન પ્રક્રિયાની ટેકનિકલ જાણકારી અપાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. આ સંદર્ભે, ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને EVM મશીનની ટેકનિકલ જાણકારી અને તેના ઉપયોગ વિશે સમજાવવા માટે ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડેમોસ્ટ્રેશન શહેરી વિસ્તારોમાં યોજાઈ રહ્યું છે. જેમાં રતનપરનો 34 નંબર વિસ્તાર, જોરાવરનગરનું નીલકંઠ મહાદેવ મંદિર અને રામજી મંદિર સહિતના વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે. ઝોનલ ઓફિસર અને મદદનીશ ઝોનલ ઓફિસરને ફાળવેલા વિસ્તારોમાં આ ડેમો યોજવામાં આવી રહ્યા છે. તેનો મુખ્ય હેતુ મતદાન સમયે મતદારોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને તેઓ યોગ્ય રીતે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. મતદારો જાતે જ મશીનનો ઉપયોગ કરીને વિગતવાર માહિતી મેળવી શકે તે રીતે સંપૂર્ણ સમજણ પૂરી પાડવામાં આવી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EVM જેવા મતદાનના અગત્યના પાસા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી મતદારો કોઈપણ ભૂલ વગર પોતાનો મત આપી શકે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:51 pm

આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી:મેવાણીને વિરોધના કારણે સભાસ્થળ બદલવું પડ્યું, ધંધુકા હત્યાકાંડ મામલે SITની રચના ,અઢી લાખ રઘુવંશીઓ ભાજપના વિરોધમાં

મહિલા અનામત બિલ મામલે કોંગ્રેસ પર પ્રહાર કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું મહિલા અનામત બિલનો વિરોધ કરનાર કોંગ્રેસનો હિસાબ દેશની મહિલાઓ કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ટાર પ્રચારકે મિટિંગ સ્થળ બદલવું પડ્યું. અમદાવાદના ચાંદખેડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીનો વિરોધ.. પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપી હોવાથી વિરોધ કરાતા મિટીંગ સ્થળ બદલવું પડ્યું..માત્ર એક ઉમેદવાર માટે પ્રચાર કરવો પડ્યો.. બાકીના ત્રણ ઉમેદવાર પ્રચારમાં પણ ના જોડાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અઢી લાખ રઘુવંશીઓ ભાજપના વિરોધમાં રાજકોટમાં રઘુવંશી સમાજે ભાજપ સામે ‘NOTA’નું શસ્ત્ર ઉગામ્યું..સમાજની 6 ટિકિટની માગ સામે માત્ર 3 ટિકિટ મહિલાઓને આપી.. એક પણ પુરુષ ઉમેદવારને સ્થાન ન મળતા સભા કરી એમએલએ અને સિસ્ટમ સામે વિરોધ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આયોજનના અભાવે રેલવે સ્ટેશન પર અફરાતફરી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી..લગ્નસરા, વેકેશન અને ગેસની અછતને કારણે પરપ્રાંતીયોનો વતન જવા ધસારો,.. પોલીસે લાઠીચાર્જ કરવાની નોબત આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાણીપીણીમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત ખાણીપીણીમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત.. શાહીબાગમાં એક ડોક્ટરને વિલિયમ જોન્સ પિત્ઝામાંથી વાળ નીકળ્યો. તો હાઈકોર્ટના ઓફિસરે ઝેપ્ટો પરથી મગાવેલા પાઉંમાંથી જીવાત નીકળી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધંધુકા હત્યાકાંડ મામલે SITની રચના કરાઈ ધંધુકા હત્યાકાંડ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી. બે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી.. જે બાદ ટોળાએ આગજની અને તોડફોડ કરી હતી.ટોળા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આરોગ્ય વિભાગમાં બદલીઓ રોકવા પડાવાય છે પૈસા ખેડા આરોગ્ય વિભાગમાં બદલી રોકવા માટે 30 થી 50 હજાર રુ. પડાવાતા હોવાનો વીડિયો વાયરલ..આરોગ્ય કર્મચારીએ આ આક્ષેપ કર્યા છે. જો કે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ વાતને રદિયો આપી દીધો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PSIની 858 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની 858 જગ્યાઓ માટે આજે લેખિત પરીક્ષા યોજાઈ . અમદાવાદ શહેર અને ગ્રામ્યના વિવિધ કેન્દ્રો પર 45 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી ફંડિંગ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને દિલ્હીથી મળી રહ્યું છે ફંડિંગ..હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણીનો ક્રાઈમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો.. સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી અસહ્ય ગરમી વચ્ચે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી: વેસ્ટન ડિસ્ટર્બન અને સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લામાં વરસાદ થશે.. તો મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:50 pm

સોમનાથમાં અખાત્રીજે શહીદ વેગડાજી-કાળાજી ભીલને શ્રદ્ધાંજલિ:તેમના બલિદાનની યાદમાં 11 કુંડી યજ્ઞ, બહોળી સંખ્યામાં સમાજજનો ઉમટ્યા

સોમનાથ મંદિર પરિસરમાં અખાત્રીજના પવિત્ર દિવસે શ્રદ્ધા અને દેશભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. મહુવા સ્થિત “સોમનાથ શહીદ વીર વેગડાજી તથા ભીલ કાળાજી ભીલ સ્મૃતિ સંસ્થાન” દ્વારા વીર શહીદોની યાદમાં 11 કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહુવા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞમાં ભાગ લઈને સૌએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉર્જા અને રાષ્ટ્રપ્રેમની ભાવના છવાઈ ગઈ હતી. દર વર્ષે અખાત્રીજના દિવસે મહુવાથી અનેક પરિવારો પ્રભાસ પાટણ આવી વીર વેગડાજી ભીલ અને કાળાજી ભીલને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જે નવી પેઢીને પણ શૌર્ય અને ત્યાગના મૂલ્યો સાથે જોડે છે. સંસ્થાન દ્વારા સોમનાથ મંદિર પટાંગણમાં શહીદોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં દર વર્ષે વિશેષ કાર્યક્રમો યોજાય છે. ઇતિહાસ અનુસાર, સોમનાથ મંદિર પર પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા એક આક્રમણ દરમિયાન વીર હમીરજી ગોહિલની આગેવાનીમાં વીર વેગડાજી ભીલએ પોતાના લગભગ 500 ભીલ યોદ્ધાઓ સાથે શત્રુઓ સામે મક્કમ યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં વેગડાજી ભીલએ અંતિમ શ્વાસ સુધી લડી સોમનાથ મંદિરના રક્ષણ માટે શહાદત આપી હતી. તેમની આ શૌર્યગાથા આજે પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. વેગડાજી ભીલ માત્ર યુદ્ધવીર જ નહોતા, પરંતુ માનવતા અને પરંપરાના પણ પ્રતિક હતા. ગીર વિસ્તારમાં મચ્છુન્દ્રિ નદી કિનારે તેમનું નિવાસ સ્થાન હતું. તેમણે વીર હમીરજી ગોહિલને આશ્રય આપીને તથા પોતાની પુત્રીનું તેમના સાથે વિવાહ કરીને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે પણ ગીર વિસ્તારમાં તેમના પાળિયા અને ઇતિહાસના અવશેષો તેમની શૌર્યગાથાની સાક્ષી પૂરે છે. આ યજ્ઞ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહોતો, પરંતુ સમાજમાં દેશપ્રેમ, ત્યાગ અને એકતાનો સંદેશ આપતો કાર્યક્રમ હતો. ઉપસ્થિત સમાજજનોએ શહીદોના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી. અખાત્રીજના પાવન દિવસે યોજાયેલ આ કાર્યક્રમ સોમનાથની ધરા પર શૌર્ય અને સંસ્કૃતિના સંગમનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:36 pm

ગીર સોમનાથમાં ગેરકાયદેસર માછીમારી સામે કાર્યવાહી:ત્રણ બોટ માલિકો સામે ગુના દાખલ, લાયસન્સ વિના ચાલતી હતી

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર માછીમારી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. દરિયાઈ વિસ્તારમાં લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર બોટ ચલાવી માછીમારી કરતા ત્રણ બોટ માલિકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાના આધારે કરવામાં આવી હતી. ગત 19 એપ્રિલ, 2026ના રોજ એસ.ઓ.જી. ટીમે કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ હાથ ધર્યું હતું. કદવાર-હીરાકોટ બંદર નજીક “શકરપીરની મહેરબાની”, “અલી મદદ” અને “યા અલી બરકત” નામની ત્રણ બોટ ગેરરીતિથી સંચાલિત થતી હોવાનું સામે આવ્યું હતું. આ બોટો લાયસન્સ, રજીસ્ટ્રેશન, ઓનલાઇન એન્ટ્રી અને જરૂરી ટોકન વગર દરિયામાં માછીમારી કરી રહી હતી. આ ગેરરીતિ બદલ સંડોવાયેલા બોટ માલિકો/સંચાલકો સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003 તથા સુધારા-2020ના નિયમો હેઠળ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. આ કેસમાં આરોપી તરીકે અસલમભાઈ જુમાભાઈ મોવાણા (ઉ.વ. 27), દિલસાદ અયુબભાઈ પટેલીયા (ઉ.વ. 26) અને ફીરોજ જાફરભાઈ મોવાણા (ઉ.વ. 40)ના નામ સામેલ છે. આ ત્રણેય કદવાર-હીરાકોટ બંદરના રહેવાસી છે. આ ઓપરેશન એસ.ઓ.જી. ગીર સોમનાથના ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. આર.એચ. સુવાના નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યું હતું. એસ.ઓ.જી.ના અન્ય સ્ટાફ કર્મચારીઓએ પણ આ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દરિયામાં માછીમારી કરવા માટે લાયસન્સ, રજીસ્ટ્રેશન અને ઓનલાઇન એન્ટ્રી ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં કોસ્ટલ સુરક્ષાને મજબૂત બનાવવાના ભાગરૂપે આવી ચેકિંગ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:36 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઉધના રેલવે સ્ટેશને મુસાફરો રઝળ્યા, બેકાબૂ બનતા પોલીસની દંડાવાળી, AAPને દિલ્હીથી ફંડિંગ ને હવાલાનો ખેલ

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:25 pm

ન્યુઝીલેન્ડમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી:બાળકોએ સપ્તઋષિ અને સપ્ત ચિરંજીવીના જીવનબોધને વાચા આપી

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને અપ્રતિમ તેજના પ્રતીક એવા ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે ‘બ્રાહ્મણ સમાજ (ગુજરાતી) ન્યુઝીલેન્ડ’ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન Aucklandના બાલમોરલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તિ, જ્ઞાન અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ અને પરિવારોએ હાજર રહીને ઉત્સવની શોભા વધારી હતી. નવી પેઢીને શાસ્ત્રોક્ત જ્ઞાનનું ભાથું કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ જ્ઞાનવર્ધક સત્રો હતા. હિન્દુ શાસ્ત્રો અનુસાર સાત અમર પાત્રો— અશ્વત્થામા, હનુમાનજી, બલિરાજા, વેદ વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને માર્કંડેય ઋષિ સહિત ભગવાન પરશુરામ એટલે કે ‘સપ્ત ચિરંજીવી’ વિશે બાળકોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સપ્તઋષિઓના જીવન અને તેમના દ્વારા અપાયેલા બોધપાઠને વર્તમાન જીવનમાં કેવી રીતે ઉતારવો જોઈએ, તે અંગે બાળકોએ ખૂબ જ પ્રભાવશાળી વક્તવ્ય (સ્પીચ) આપ્યા હતા. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેને ફોરમભાઇ રાવલ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. મેનેજમેન્ટથી લઈને આધ્યાત્મિક જ્ઞાન અને વ્યવહારુ જીવનનો સંગમકાર્યક્રમના દ્વિતીય ચરણમાં સમાજના વિદ્વાન વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેણે શ્રોતાઓમાં નવો વૈચારિક ઉત્સાહ જગાડ્યો હતો. બ્રાહ્મણત્વ અને આધુનિક મેનેજમેન્ટનો સમન્વય બિનલ નાગરે ભગવાન પરશુરામના શસ્ત્ર અને શાસ્ત્રના સંતુલનને આજના ‘લીડરશિપ’ અને ‘મેનેજમેન્ટ’ સાથે સાંકળીને એક અદભૂત વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમણે સમજાવ્યું કે બ્રાહ્મણ એટલે માત્ર જન્મથી નહીં પણ જે બ્રહ્મને જાણે અને સમાજને જ્ઞાનનો માર્ગ બતાવે તે. આજના કોર્પોરેટ અને સામાજિક યુગમાં પણ ‘શિસ્ત, નિષ્ઠા અને જ્ઞાનનું સંચાલન’ કેવી રીતે પરશુરામ ભગવાનના જીવનમાંથી શીખી શકાય છે, તેના પર તેમણે ઊંડો પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ ભાર મૂક્યો કે બ્રાહ્મણ સંસ્કારો એ વાસ્તવમાં આત્મ-વ્યવસ્થાપન (Self-Management) ની સર્વોત્તમ પદ્ધતિ છે. રાજ શુકલા: સુખ-દુઃખનું સંતુલન અને જીવન જીવવાની કળા રાજ શુકલાએ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી માનવ જીવનના બે અનિવાર્ય ચક્રો સુખ અને દુઃખ વિશે મનની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુ છે; સુખ આપણને આભાર માનતા શીખવે છે, જ્યારે દુઃખ આપણને આત્મમંથન અને ધૈર્યની શક્તિ આપે છે. જીવનની સાચી કળા કોઈ પણ પરિસ્થિતિમાં ‘સ્થિતપ્રજ્ઞ’ રહીને આનંદમય જીવન કેવી રીતે જીવવું, તે અંગે તેમણે ખૂબ જ પ્રેરણાદાયી છણાવટ કરી હતી. તેમણે સુખ અને દુઃખ પરની કવિતાની ઉપસ્થિત લોકોએ ચોતરફથી પ્રસંશા કરી હતી. સપ્ત ચિરંજીવીનું શાશ્વત અસ્તિત્વ ચિંતનભાઇએ આપણા પુરાણોમાં વર્ણવાયેલા ‘સપ્ત ચિરંજીવી’ (સાત અમર પાત્રો)ના અસ્તિત્વ પાછળના રહસ્યો અને તેમના ગુણો વિશે વાત કરી હતી. તેમણે સમજાવ્યું કે, આ સાતેય પાત્રો માનવ સ્વભાવના અલગ-અલગ ગુણોના પ્રતીક છે. આ પાત્રો આજે પણ આપણા વિચારો અને સંસ્કારોમાં કેવી રીતે જીવંત છે અને તેમના જીવનના આદર્શોને વર્તમાન સમયના પડકારો સામે લડવા માટે કેવી રીતે પ્રાસંગિક બનાવી શકાય, તે અંગે તેમણે અત્યંત મનનીય પ્રવચન આપ્યું હતું. નિલય જાની: હનુમાનજીની ભક્તિ અને નિઃસ્વાર્થ સેવાનો મહિમા નિલય જાનીએ રામભક્ત હનુમાનજીના જીવનના ઉદાહરણો આપીને ‘સેવા અને સમર્પણ’ની શક્તિ સમજાવી હતી. તેમણે શ્રોતાઓને જણાવ્યું કે હનુમાનજી માત્ર શક્તિના જ નહીં, પણ બુદ્ધિ અને ચાતુર્યના પણ દેવ છે. તેમની ભક્તિમાં અહંકારનો અભાવ અને સ્વામી પ્રત્યેની જે અગાધ નિષ્ઠા છે, તે દરેક મનુષ્ય માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમના પ્રવચને શ્રોતાઓને ભક્તિભાવમાં તરબોળ કરી દીધા હતા અને સેવાનો સાચો અર્થ સમજાવ્યો હતો. તાલીમ અને પ્રોત્સાહનબાળકોના પ્રદર્શનને નિખારવા માટે હિમાલય શુકલા દ્વારા સપ્તઋષિઓના જીવન વિશે કેવી રીતે વક્તવ્ય આપવું અને મંચ પર કેવી રીતે રજૂઆત કરવી, તે અંગે સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ તાલીમનું પરિણામ બાળકોના આત્મવિશ્વાસપૂર્ણ પર્ફોમન્સમાં જોવા મળ્યું હતું. કાર્યક્રમના અંતે, બાળકોના ઉત્સાહને વધારવા માટે તેમને ઇનામો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સામાજિક એકતા અને સંસ્કાર સિંચનકાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મનુરેવા શિવ મંદિરના મહારાજશ્રી નીરજભાઇએ તેમના આશીર્વચન પાઠવતા ભગવાન પરશુરામના જીવનના આદર્શોને વર્તમાન સામાજિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા હતા. તેમણે અત્યંત પ્રભાવશાળી રીતે સમજાવ્યું કે, સામાજિક એકતાનું મહત્વ: મહારાજે જણાવ્યું કે, ભગવાન પરશુરામનું જીવન ન્યાય અને ધર્મની સ્થાપના માટે સમર્પિત હતું. આજના વિખરાયેલા જમાનામાં બ્રાહ્મણ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજમાં ‘એકતા’ હોવી કેટલી અનિવાર્ય છે, તેના પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે સમાજ સંગઠિત હોય છે ત્યારે જ તે પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. સંગઠિત શક્તિ: તેમણે પરશુરામજીના ‘પરશુ’ (શસ્ત્ર) અને ‘શાસ્ત્ર’ના સંતુલનને સમજાવતા કહ્યું કે, જ્ઞાનની સાથે સમાજમાં એકબીજા પ્રત્યેનો સહકાર અને સંગઠિત શક્તિ જ આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે. બાળકો દ્વારા હનુમાન ચાલીસાના ગાનથી ભક્તિમય વાતાવરણમહારાજની પ્રેરણાથી કાર્યક્રમમાં એક અત્યંત દિવ્ય ક્ષણ ત્યારે આવી જ્યારે હોલના વાતાવરણમાં નાના-નાના બાળકોના મુખે ‘હનુમાન ચાલીસા’ ના પાઠ ગુંજી ઉઠ્યા. નીરજભાઇએ સ્વયં બાળકોને આ પાઠ કરાવ્યા હતા. શુદ્ધ ઉચ્ચારણ અને નિર્દોષ ભાવે ગવાયેલી હનુમાન ચાલીસાએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દીધું હતું. આ સત્ર દ્વારા તેમણે સંદેશ આપ્યો કે જો બાળકોને નાનપણથી જ આવા પાઠ અને મંત્રોનું શિક્ષણ આપવામાં આવે, તો તેમનામાં સાહસ અને સંસ્કારના બીજ આપોઆપ રોપાય છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:21 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભાજપના ઉમેદવારને જોતા જ મહિલા બરાબરની ભડકી, HCના ક્લાસ-1 અધિકારીના પાઉંમાં ફૂગ નીકળી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:15 pm

મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદિત નિવેદન:ધોરાજીના સપેડીમાં પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ કહ્યા, પરિવારજનોને ખ્રિસ્તી તથા મુસ્લિમ ગણાવ્યા

રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ખાતે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલનેહરુને મુસ્લિમ ગણાવ્યા હતા અને સમગ્રનેહરુ-ગાંધી પરિવારના સભ્યોને ખ્રિસ્તી તથા મુસ્લિમ કહ્યા હતા. ઉદ્ઘાટનમાં વિવાદનો મધપૂડોધોરાજી તાલુકાના સુપેડી ખાતે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત જાહેર સભામાં હરિ પટેલે સંબોધન કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે નેહરુ-ગાંધી પરિવારે દેશની જનતાને છેતરી છે. પૂર્વ સાંસદે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ ગણાવ્યા હતા અને સમગ્ર પરિવારના સભ્યોને ખ્રિસ્તી તથા મુસ્લિમ કહીને સંબોધતા હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. મંચ પર હાજર નેતાઓની મૌન સંમતિ?આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે હરિ પટેલ આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા હતા, ત્યારે મંચ પર ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા જેવા જવાબદાર નેતાઓ હાજર હતા. જવાબદાર પદો પર બિરાજમાન આ નેતાઓની હાજરીમાં જ ઇતિહાસના તથ્યોને તોડી-મરોડીને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હોવા છતાં, કોઈએ તેમને રોકવાનો કે ટોકવાનો પ્રયાસ કર્યો ન હતો. ચૂંટણી ટાણે રાજકારણ ગરમાયુંચૂંટણીના માહોલમાં ઇતિહાસ અને રાષ્ટ્રીય મહાપુરુષો વિશે કરવામાં આવેલા આવા વિવાદાસ્પદ નિવેદનથી વિપક્ષોને આક્રમક થવાની તક મળી છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ નિવેદનની આકરી ટીકા થઈ રહી છે. પૂર્વ સાંસદે નેહરુ-ગાંધી પરિવારની ધાર્મિક ઓળખ બાબતે જે ટિપ્પણી કરી છે, તેનાથી ભાજપની છબીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 'ડેમેજ કંટ્રોલ' ની કવાયતસૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિવેદન બાદ ભાજપના આંતરિક વર્તુળોમાં 'ડેમેજ કંટ્રોલ' કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે, જવાબદાર નેતાઓની હાજરીમાં થયેલા આ બફાટથી પક્ષ માટે બચાવ કરવો મુશ્કેલ બની શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:12 pm

સુરેન્દ્રનગરમાં મહિલા સંમેલન, અનામત બિલ મુદ્દે વિપક્ષ પર પ્રહાર:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના પ્રચાર અભિયાન અંતર્ગત યોજાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાજપના પ્રચાર અભિયાન અંતર્ગત એક મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં નમો કમલમ કાર્યાલય ખાતે યોજાયું હતું, જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સંમેલનમાં મહિલા અનામત બિલનો વિરોધ કરનાર વિપક્ષને આગામી ચૂંટણીઓમાં જડબાતોડ જવાબ આપવા માટે મહિલાઓએ હુંકાર કર્યો હતો. આ મુદ્દો સંમેલનનો મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યો હતો. ઉપસ્થિત મહિલાઓને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી. આ ઉમેદવારો મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત હોવાનું જણાવાયું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ થકી મહિલાઓને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:05 pm

મિત્રએ સાચવવા આપેલું હથિયાર વેચવા નીકળ્યો:ઝઘડિયા ચોકડી પાસે પિસ્ટલના સોદા માટે ઉભેલા શખસને પોલીસે રસ્તા વચ્ચે જ દબોચ્યો, દેશી પિસ્ટલ સાથે 19 વર્ષનો યુવક ઝડપાયો

સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારોનો વેપલો કરનારા તત્વો સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ખાસ કરીને 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથે છે ત્યારે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરના આદેશથી સ્પેશિયલ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઓપરેશન દરમિયાન રાંદેર વિસ્તારમાં પિસ્ટલ લઈને ફરતા એક 19 વર્ષના યુવકને ઝડપી પાડી પોલીસે મોટા નેટવર્કનો પર્દાફાશ કરવાની દિશામાં તપાસ તેજ કરી છે. ઝઘડિયા ચોકડી પાસે ફિલ્મી ઢબે ઓપરેશનબાતમી મળી હતી કે રાંદેર, પીરામીડ આઈકોન બિલ્ડિંગની પાછળ આવેલા શ્રીજીનગરી રોડ પર એક શખસ હથિયાર સાથે કોઈની રાહ જોઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિવિલ ડ્રેસમાં વોચ ગોઠવી હતી. જેવો બાતમી મુજબનો યુવક ઝઘડિયા ચોકડી પાસે દેખાયો કે તરત જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. તેની તપાસ કરી લેતા કમરના ભાગે છુપાવેલી દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. પોલીસ માટે મોટો સવાલપકડાયેલા આરોપી આર્યન વાઘની પૂછપરછમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આર્યને જણાવ્યું કે, આ પિસ્ટલ તેની પોતાની નથી પણ સાત મહિના પહેલા તેના મિત્ર નિકુંજે તેને સાચવવા માટે આપી હતી. નિકુંજે કહ્યું હતું કે, તે થોડા દિવસોમાં પરત લઈ જશે, પરંતુ ત્યારબાદ નિકુંજ ગાયબ થઈ ગયો હતો. હથિયાર સાચવવું જોખમી હોવાથી અને પૈસાની જરૂરિયાત ઊભી થતા આર્યન આ પિસ્ટલ વેચવા માટે નીકળ્યો હતો. હવે પોલીસ એ શોધી રહી છે કે આ નિકુંજ કોણ છે અને તેની પાસે આ હથિયાર ક્યાંથી આવ્યું? ચૂંટણી ટાણે પોલીસનો કડક સંદેશસુરત ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2026 દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે ડરનું વાતાવરણ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરનારાઓ સામે આક્રમક કાર્યવાહી ચાલુ રહેશે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ-25(1-b)a અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:02 pm

નારી શક્તિ વંદન બિલ રોકાતા ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:70 કરોડ મહિલાઓના સપનાઓ પર ઘા, રક્ષા ખડસે અને ભૂપેન્દ્ર પટેલે કર્યો આક્ષેપ

ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રિય રાજ્યમંત્રી રક્ષા ખડસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલ મુદ્દે કોંગ્રેસ અને INDI ગઠબંધન પર તીખા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી રક્ષા ખડસેએ જણાવ્યું કે, મહિલાઓને 33 ટકા અનામત આપતું આ ઐતિહાસિક બિલ લોકસભામાં પસાર થતું અટકાવી કોંગ્રેસે દેશની નારી શક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. તેમણે ઉમેર્યું કે બિલમાં સીમાકંન પછી અમલની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી છે. મહિલાઓ આ બાબતે આગામી ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશેમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસની “બે મોઢાની રાજનીતિ” પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, એક તરફ મહિલાઓના હિતની વાતો અને બીજી તરફ કાયદાકીય સશક્તિકરણ સમયે અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ બિલ માત્ર કાયદો નહીં પરંતુ, દેશની અડધી વસ્તી માટે સશક્તિકરણનો ઐતિહાસિક અવસર હતો, જેને કોંગ્રેસે નકારાત્મક રાજનીતિથી રોકી દીધો. આ સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, મહિલાઓ આ બાબતે આવનારી ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સંસદમાં બનેલી ઘટના માત્ર એક બિલની હાર નથી પરંતુ, દેશની કરોડો માતા-બહેનોના સપનાઓ પર સીધો પ્રહાર છે. તેમણે કોંગ્રેસ પર પરિવારવાદી રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે, સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ આગળ વધે તે કોંગ્રેસને સ્વીકાર્ય નથી. મહિલાઓને તેમના અધિકારો આપવા માટેની લડત ચાલુ રહેશેપ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતાઓએ દાવો કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓના સશક્તિકરણ માટે ઉજ્જવલા યોજના, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને ‘લખપતિ દીદી’ જેવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 50 ટકા સુધી મહિલાઓને આરક્ષણ આપવામાં આવ્યું છે પરંતુ, સંસદ અને વિધાનસભામાં વધુ પ્રતિનિધિત્વ આપવાનો માર્ગ કોંગ્રેસે અટકાવ્યો છે. અંતમાં ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે, મહિલાઓને તેમના અધિકારો આપવા માટેની લડત ચાલુ રહેશે અને ભવિષ્યમાં ફરીથી આ દિશામાં પ્રયાસો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:53 pm

દુબે બન્યો કાળા જાદુનો શિકાર!:ફેન્સે જાડેજાને CSKનો સવાલ પુછ્યો, બાપુ બગડ્યા; ચહલે ‘CUTE’ મોડેલ પર માનહાનીનો દાવો કર્યો

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:42 pm

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ:ભાવનગરમાં અક્ષય તૃતીયાએ રથ પૂજન અને ધ્વજારોહણ, ધાર્મિક વિધિ મહંતના હસ્તે સંપન્ન

ભાવનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાથી તૈયારીનો શુભારંભ કરવામાં આવે છે, જેના અનુસંધાને આજે શહેરના સુભાષનગર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના રથનું વિધિવત પૂજન અને ધ્વજારોહણ પૂ. ગરીબરામબાપુ અને મહંત પૂ. રામચંદ્રદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. જગન્નાથજી મંદિર ખાતે ભગવાનના રથનું વિશેષ પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યુંદર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજવાની પરંપરા છે, જેની પૂર્વતૈયારીઓ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસથી શરૂ થઈ જાય છે. પરંપરા મુજબ, પૂરીમાં દર વર્ષે નવા રથનું નિર્માણ થાય છે, જ્યારે અન્ય સ્થળોએ અક્ષય તૃતીયાના દિવસે રથ પૂજન અને મેન્ટેનન્સ તથા શણગારની વિધિ કરી રથયાત્રાની તૈયારીઓનો આરંભ કરવામાં આવે છે. આ જ પરંપરાને અનુસરીને, આજે અક્ષય તૃતીયાના શુભ દિને ભાવનગરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ભગવાનના રથનું વિશેષ પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ પૂજ્ય ગરીબરામબાપુ (નાની ખોડિયાર મંદિર) અને મહંત પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ (તપસ્વી બાપુની જગ્યા)ના વરદ હસ્તે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રથયાત્રાના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને ધર્મલાભ લેવાની સાથે ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:38 pm

લુણાવાડાના 593મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી:1434માં મહારાજા ભીમસિંહે પાયો નાખ્યો હતો, લુણેશ્વર મહાદેવની પૂજા અને શોભાયાત્રા યોજાઈ

મહીસાગર જિલ્લાના ઐતિહાસિક નગર લુણાવાડાનો 593મો સ્થાપના દિન અખાત્રીજના પવિત્ર દિવસે પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરના આદ્ય દેવ સ્વયંભૂ લુણેશ્વર મહાદેવના મંદિરમાં મહાપૂજા, પાલખી પૂજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં બુરહાની બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સ્થાપનાલુણાવાડા નગરનો પાયો 1434માં મહારાજા ભીમસિંહ દ્વારા નાખવામાં આવ્યો હતો. લૂણનાથ બાબાની પ્રેરણા અને નગરદેવતા લૂણેશ્વર મહાદેવની કૃપાથી આ નગરની સ્થાપના થઈ હતી, જે પ્રાચીન સમયમાં 'લાવણ્યપુરી' તરીકે ઓળખાતું હતું. ઉજવણીના મુખ્ય કાર્યક્રમોસ્થાપના દિન નિમિત્તે વહેલી સવારે લૂણેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પાલખી પૂજન કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું: મહાનુભાવોની ઉપસ્થિતિ: સિધ્ધરાજસિંહ, નગર સ્થાપના દિન ઉત્સવ સમિતિના ચેરમેન અને પાલિકા પ્રમુખ ડો. કિર્તિ પટેલ, વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સહિત પાલિકાના સભ્યો અને અગ્રણી નાગરિકો જોડાયા હતા. શોભાયાત્રાનું આકર્ષણ: બુરહાની બેન્ડની સૂરાવલિઓ સાથે નીકળેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી. રાજવીઓની દીર્ઘદ્રષ્ટિને યાદ કરાઈશોભાયાત્રા દરમિયાન નગરજનોએ લુણાવાડાના શાસકોના પ્રદાનને અંજલિ આપી હતી. શાસકોએ તે સમયે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા સાથે જે આધુનિક નગરરચના અમલી બનાવી હતી, તેને કારણે આજે પણ લુણાવાડા એક સુવ્યવસ્થિત ઐતિહાસિક વારસો ધરાવે છે. રાજવી પરિવાર અને સ્થાનિક નેતાઓએ નગરજનોને સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.નગરની વિશેષતા: 593 વર્ષ પૂર્વે સ્થપાયેલું લુણાવાડા આજે પણ તેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:30 pm

વોર્ડ-18માં NCPના ઉમેદવારોની વિવાદાસ્પદ પત્રિકા મુદ્દે હોબાળો:કોમી વૈમનસ્ય ફેલાવવા અને આચારસંહિતા ભંગ બદલ અસલમ સાયકલવાલાએ કલેક્ટર અને કમિશનરને કરી ફરિયાદ

સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. વોર્ડ નંબર 18 (લિંબાયત-પર્વત-કુંભારિયા) માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજીત પવાર જૂથ) ના ઉમેદવારો દ્વારા વહેંચવામાં આવેલી એક કથિત વિવાદાસ્પદ પત્રિકાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. મળતી માહિતી મુજબ, વોર્ડ નં. 18 ના NCPના ઉમેદવારો નાસિર ખાન ગુલામ અલી પઠાણ અને શરીફા સુલેમાન શેખ દ્વારા પ્રચાર કાર્ય માટે એક પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે. આ પત્રિકામાં લખાયેલા લખાણો અને સૂત્રોને કારણે શહેરની શાંતિ અને સલામતી જોખમાતી હોવાનો અને આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હિન્દુ મતદાર આપણને વોટ નથી આપતો તો આપણે તેમને કેમ વોટ આપવો?ફરિયાદમાં જણાવ્યા અનુસાર પત્રિકામાં ધાર્મિક નારાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો તર્ક આપતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું છે કે, પવિત્ર ઇસ્લામી નારાઓ ચૂંટણી પત્રિકામાં છાપવાથી તે પત્રિકાઓ જમીન પર કે કચરામાં ફેંકાય છે, જે ધાર્મિક રીતે આસ્થાનું અપમાન છે. વાયરલ થયેલી પત્રિકામાં મતદારોને સંબોધીને લખવામાં આવ્યું છે કે, જો હિન્દુ મતદાર આપણને વોટ નથી આપતો, તો આપણે તેમને કેમ વોટ આપવો? આ ઉપરાંત લઘુમતી સમાજને એક થઈને માત્ર મુસ્લિમ ઉમેદવારોને જ વોટ આપવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રકારનું લખાણ કોમી વૈમનસ્ય ફેલાવવાનું અને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યું હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. વિવાદાસ્પદ પત્રિકા છાપનાર સામે કાર્યવાહીની માગગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કલેક્ટર ડૉ. સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પત્ર લખી માંગ કરવામાં આવી છે કે, ધર્મના નામે મતો માંગવા અને કોમી ઉશ્કેરણી કરવી એ ચૂંટણી પંચના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. આ વિવાદાસ્પદ પત્રિકા છાપનાર પ્રિન્ટિંગ પ્રેસ અને ડિઝાઇનર સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સમાજમાં વર્ગવિગ્રહ કરાવવાના ઈરાદે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાથી જવાબદારો સામે પાસા અને એટ્રોસિટી એક્ટ હેઠળ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. ઉમેદવાર નાસિર ખાન પઠાણ લિંબાયત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિના સભ્ય છે. ફરિયાદમાં તેમને તાત્કાલિક અસરથી આ પદ પરથી દૂર કરવા વિનંતી કરાઈ છે. સુરતની કોમી એક્તાને ખંડિત કરવાનો પ્રયાસકોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 લિંબાયત-પર્વત-કુંભારીયા, જેમાં NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી), જે પાર્ટી અજિત પવારની છે, એના ઉમેદવાર છે નાસિર અલી ખાન પઠાણ અને શરીફાબેન શેખ. એમને જે બે દિવસથી એમના ડોર-ટુ-ડોર પ્રચારમાં પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે, જે હિન્દીમાં લખાણ છે, એમાં હિન્દુ-મુસ્લિમનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ‘મુસ્લિમો જાગો અને મુસ્લિમોને મત આપો, હિન્દુ આપણને મત આપતા નથી હિન્દુઓને ના આપો’ અને ‘નારે તકબીર અલ્લાહુ અકબર’. એમ કરીને જે પત્રિકા છે એ સુરત શહેરની કોમી એકતા, શાંતિ, અખંડિતતાને ખંડિત કરવાનો એમનો પ્રયાસ છે. આ પત્રિકાને કારણે એકબીજા સમાજ પ્રત્યે વૈમનસ્ય ઊભું થશે, વર્ગવિગ્રહ થવાનો ભય છે. અને આવી કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ આવી રીતે ડોર-ટુ-ડોર પ્રચાર કરવા નીકળે ને આવી પત્રિકા જે વિતરણ કરે છે, એ જ્યારે જમીન પર કે કચરામાં પડે છે ત્યારે મુસ્લિમ સમાજની પણ એમાં ‘નારે તકબીર અલ્લાહુ અકબર’ લખ્યું છે એટલે લાગણી દુભાય સ્વાભાવિક છે. એટલે એ બાબતની જાણ મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર, પોલીસ કમિશનર તેમજ ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે. કોમી વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપો અંગે કાર્યવાહી કરવા સૂચના આપીમારી વિનંતી છે કે સરકાર, ચૂંટણી અધિકારી આમાં તાત્કાલિક અસરથી તપાસ કરીને આ ઉમેદવારો, આ પત્રિકા છાપવાના ડિઝાઇનર, આ પત્રિકા છાપનાર પ્રિન્ટર અને એમાં જે કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલ હોય એ તમામની સામે કડકમાં કડક ફોજદારી કાર્યવાહી કરે, પાસા હેઠળ કાર્યવાહી કરે. અને આ જે સામાન્ય ચૂંટણીમાં જે બેઠકો છે, એમાં એક આદિવાસી સ્ત્રીની અનામત બેઠક છે એટલે એમની માનસિકતા આદિવાસી વિરોધી પણ છે એ એમને સાબિત કર્યું છે, એટલે એમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગણી છે. આ મામલે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા પોલીસ કમિશનરને સત્તાવાર પત્ર પાઠવી તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ અરજદાર અસલમ સાયકલવાલાની રજૂઆતને ગંભીરતાથી લઈ, આદર્શ આચારસંહિતાના ભંગ અને કોમી વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપો અંગે નિયમોનુસાર સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તટસ્થ અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે આ કેસમાં થયેલી કાર્યવાહીનો અહેવાલ પણ તાત્કાલિક રજૂ કરવાનો રહેશે, જેનાથી હવે વિવાદાસ્પદ પત્રિકા વહેંચનાર ઉમેદવારો સામે કાયદાનો શિરોપાવ તોળાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:16 pm

અમરેલીમાં સિંહણ ટ્રેકર પર તૂટી પડી:પાંજરામાંથી મુક્ત કરતાં જ 'લક્ષ્મી' હિંસક બની; ઘાયલ વનકર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેકર નકાભાઈ રામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે અન્ય વનકર્મીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સિંહોના સ્વાસ્થ્ય માટે વન વિભાગની ડી-વોર્નિંગ કામગીરીવન વિભાગ દ્વારા દર વર્ષે ઉનાળાની ઋતુમાં સિંહોની સુરક્ષા અને માનવ-સિંહ સંઘર્ષના બનાવો ટાળવા માટે 'ડી-વોર્નિંગ'ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ ઓપરેશન અંતર્ગત સિંહોને રેસ્ક્યુ કરી તેમના સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે, જેથી વનરાજ વધુ તંદુરસ્ત રહી શકે. આ વાર્ષિક રક્ષણાત્મક કામગીરીના ભાગરૂપે જ સિંહણને રેસ્ક્યુ કર્યા બાદ સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ ચાલી રહી હતી. મુક્તિ સમયે ગભરાયેલી સિંહણનો અચાનક હુમલોસિંહણને પાંજરામાંથી મુક્ત કરવામાં આવી ત્યારે તે શાંતિથી જવાને બદલે અચાનક પાછી ફરી હતી અને તીવ્ર ઝડપે દોટ મૂકી ટ્રેકર નકાભાઈ રામ પર તૂટી પડી હતી. નિષ્ણાતોના મતે, રેસ્ક્યુ બાદ સિંહણ તણાવમાં હોવી, પોતાની જાત પર ખતરો અનુભવવો અથવા પોતાના પ્રદેશની રક્ષા કરવાની આક્રમક વૃત્તિને કારણે આ પ્રકારનો હુમલો કર્યો હોઈ શકે છે. માનવોથી પરિચિત 'લક્ષ્મી' સિંહણનું આક્રમક વલણહુમલો કરનાર આ સિંહણ વન વિભાગના ચોપડે 'લક્ષ્મી' તરીકે ઓળખાય છે. 'લક્ષ્મી' સામાન્ય રીતે માનવ હાજરીથી પરિચિત હોવા છતાં, તેણે કરેલા આ હુમલાથી વન વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. વન વિભાગના સ્ટાફ અને સ્થાનિકોની આસપાસ અવારનવાર વિચરણ કરતી હોવા છતાં, તે આખરે એક વન્ય પ્રાણી હોવાથી તેની આક્રમકતાએ સૌને ચોંકાવી દીધા છે. ઈજાગ્રસ્ત ટ્રેકરની સારવાર અને સાવચેતીના આદેશઆસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) વિરલ સિંહ ચાવડાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ડી-વોર્નિંગ પ્રક્રિયા દરમિયાન સિંહણને મુક્ત કરતી વેળાએ આ દુર્ઘટના ઘટી હતી. હાલ ઈજાગ્રસ્ત ટ્રેકરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સ્ટાફને વધુ સાવચેત રહેવા સૂચના આપી છે. રાજુલા પંથકમાં દીપડાનો આતંક અને સર્ચઉલ્લેખનીય છે કે, રાજુલા તાલુકામાં માત્ર સિંહ જ નહીં પણ દીપડાનો ભય પણ વધ્યો છે. ૩ દિવસ પહેલા જ નવા આગરિયા ગામ નજીક એક દીપડાએ ૨ વ્યક્તિઓ પર હુમલો કરી સામાન્ય ઈજા પહોંચાડી હતી. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ અને સ્કેનિંગની કામગીરી તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:09 pm

અમીરગઢ ચેકપોસ્ટ પર ટ્રાવેલ્સ બસમાંથી દારૂ ઝડપાયો:ગુપ્તખાનામાંથી 60 બોટલ વિદેશી દારૂ મળ્યો, ₹18.40 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા પોલીસે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી એક ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બસમાં બનાવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 60 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹3,20,280/- આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં દારૂના જથ્થા ઉપરાંત બસ સહિત કુલ ₹18,40,280/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બસના ચાલક અને ક્લીનર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડના માર્ગદર્શન હેઠળ, અમીરગઢ પોલીસ સ્ટાફ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જંગદબા ટ્રાવેલ્સ બસ નંબર MP-14-ZH-7773 ને રોકવામાં આવી હતી. બસની તલાશી લેતા, તેમાં બનાવેલા ગુપ્તખાનામાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બસ ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂનો જથ્થો ભરેલી બસ આપનાર મુખ્ય આરોપી ફરાર છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65એઈ, 116(બી), 98(2), 81, 83 હેઠળ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:08 pm

સુરેન્દ્રનગરમાં ભેળસેળયુક્ત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો:SOGએ ₹2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બેની ધરપકડ; જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝથી આવ્યો

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં દરોડા પાડી ભેળસેળયુક્ત અમુલ ઘીના 22 ડબ્બા સહિત કુલ 2.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની વ્યૂહાત્મક કાર્યવાહીરાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત SOG PI બી.એચ. શીંગરખીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફૂડ અને ડ્રગ્સ વિભાગને સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડાની વિગત અને મુદ્દામાલપોલીસે સૌપ્રથમ મહેતા માર્કેટમાં આવેલી 'હેત્વી સેલ્સ' નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં દુકાનદાર પ્રિતેષ હસમુખ લાલાણી (રહે. રતનપર) પાસેથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો ટાંકી ચોક પાસે આવેલી 'જે.સી. એન્ડ કંપની' માંથી મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે જે.સી. એન્ડ કંપનીમાં તપાસ હાથ ધરતા ત્યાંથી 'અનન્યા' કંપનીના બોક્સમાં પેક કરેલા 'અમૂલ પ્યોર ઘી હોલસેલ પેકેજ' લખેલા વધુ 16 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી સંચાલક રાજ જયેશ શકાણી અને જયેશ ચંદુલાલ શકાણીની અટકાયત કરી હતી. જપ્ત કરાયેલો મુદ્દામાલ અમુલ ઘીના ડબ્બા (22 નંગ): ₹2,20,000 મોબાઈલ ફોન (2 નંગ): ₹15,000 કુલ મુદ્દામાલ: ₹2,35,000 અમદાવાદ કનેક્શન ખુલ્યુંપકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ભેળસેળયુક્ત ઘીનો આ જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ તેજ કરી છે. જનતાને અપીલSOG દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં નકલી કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ સફળ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ અને SOG ટીમનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:04 pm

અલકાપુરીમાં ઓનલાઈન સટ્ટો રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા:પ્રોજેક્ટર પર IPL મેચ જોઈ સટો રમતા'તા, મોબાઈલ, રોકડ અને વાહનો સહિતનો 2.91 મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરમાં ચાલતી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે વડોદરા શહેર પીસીબીએ અલકાપુરી વિસ્તારમાં દરોડો પાડી આઈ.પી.એલ. મેચ પર સટ્ટો રમતા પાંચ ઈસમોને રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન સટ્ટો રમતા પાંચ સટ્ટોડિયા દબોચાયાપીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત અને ટીમને બાતમી મળી હતી કે, અલકાપુરીમાં અરુણોદય સર્કલ પાસે આવેલી અરુણોદય સોસાયટીના એક જૂના મકાનમાં કેટલાક ઇસમો પ્રોજેક્ટર પર આઈપીએલની લાઈવ મેચ જોઈ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા હાર-જીતનો સટ્ટો રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી પાંચ ઈસમો ઝડપાઈ ગયા હતા. આ તમામ વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપી અશોક શિવરામભાઈ ખરાલ (રહે. ગોરવા, વડોદરા), ધર્મેશ ઉર્ફે ગલો રમેશભાઈ કહાર (રહે. નવાપુરા, વડોદરા), પીયુષ ચંપકલાલ તડવી (રહે. સેવાસી ગોત્રી, વડોદરા),સુનિલ છગનભાઈ બારૈયા (રહે. લક્ષ્મીપુરા, વડોદરા), વિજયભાઈ ભીખાભાઈ વાઘેલા (રહે. સયાજીગંજ, વડોદરા)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 2.91 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 2,91,720 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ,મોબાઇલ, પ્રોજેક્ટર, વાહનો મળી કુલ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:50 pm

દારૂના બે ધંધાર્થી પર પાસા હેઠળ કાર્યવાહી:જામનગર અને જોડિયાના આરોપીઓને જેલમાં મોકલાયા

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી દારૂના બે ધંધાર્થીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બંને બુટલેગરની અટકાયત કરીને તેમને જેલમાં મોકલી દેવાયા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લીપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. આ સૂચનાઓના અનુસંધાને, એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા સહિતની ટીમે અગાઉ પ્રોહિબિશન ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા હેઠળ દરખાસ્તો તૈયાર કરી હતી. આ દરખાસ્તો પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યાને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યાએ પાસા વોરંટ જારી કરતા પોલીસે તેની તાત્કાલિક અમલવારી કરી હતી. જામનગરના વિક્ટોરીયા પુલ પાસે રહેતા કિશનભાઇ નાથાભાઇ ગીગડને પાસા હેઠળ અટકાયત કરીને સાબરમતી, અમદાવાદ જેલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે જોડિયા તાલુકાના હડિયાણા ગામના જેઠાભાઈ કરમશીભાઈ જુથરને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફ અને જોડિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વો સામે આવી જ કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:41 pm

'હવે તો સમજો, લઈ આવો પંજો':સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર, બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતીનું વચન

ગુજરાત કોંગ્રેસ વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિઝન ડોક્યુમેન્ટની જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે. 15 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. પરિવર્તનનો સંકલ્પ કોંગ્રેસ જ વિકલ્પ, હવે તો સમજો... લઈ આવો પંજો ના નારા સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો સુધી જવાની છે. નાગરિકોના સ્વપ્ન મુજબ શહેરોના વિકાસ કરવાની કોંગ્રેસ દ્વારા કમિટનમેન્ટ આપવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયાને પારદર્શનક બનાવવાનું વચનસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કમલમ, કટકી અને કૌભાંડ જ ચાલતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કમલમ સુધી ટકાવારી નથી પહોચતી ત્યાં સુધી ટેન્ડર બહાર ન પડતું હોવાનો પણ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેથી કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું છે કે હવે જે પણ ટેન્ડરની પ્રક્રિયા થશે તે લોકો જોઈ શકે તે રીતે કરવામાં આવશે. તેમજ ટેન્ડરની તમામ પ્રક્રિયા નાગરિકો માટે જાહેર કરવાની પણ કોંગ્રેસ કમિટમેન્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોંગ્રેસ પ્રચાર કરશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રગતિશીલ વિચારધારા સાથે એક એક ગુજરાતીએ ગુજરાતની સ્થાપનાથી લઈને આજ દિન સુધી સહિયારા પુરુષાર્થ સાથે ગુજરાત વસાવ્યું છે. ગુજરાતની સ્થાપનાથી લઈને આજદિન સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્થાનિક લોકો દ્વારા વહીવટ કરવામાં આવે છે અને સ્થાનિક લોકો દ્વારા લોકોના પ્રશ્નોની ચિંતા પણ કરવામાં આવતી હતી. સત્તાનો કેન્દ્રીકરણ નહીં પણ સત્તાનું વિકેન્દ્રીકરણ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી જે પણ વહીવટ છે જે પણ નિર્ણયો છે જે પણ વ્યવસ્થાઓ છે જે પણ વિકાસ છે એની સંપૂર્ણ સત્તા સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી સ્થાનિક લોકોને આપવા માટેનું કોંગ્રેસનું વિઝન પણ કહ્યું છે કોંગ્રેસની વિચારધારા પણ રહી છે. લોકોના અભિપ્રાયો મેળવી તૈયાર કરાયું 'કોંગ્રેસનું કમિટમેન્ટ'વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 15 મહાનગરો અને 84 જેટલી નગરપાલિકા વિસ્તારોમાં મતદાન થવાનું છે. જ્યાંથી પ્રજા પોતાના આવનારા પાંચ વર્ષ માટેના પ્રતિનિધિ ચૂંટીને મોકલવાના છે. ત્યારે કોંગ્રેસનું આ શહેરી વિસ્તારો માટેનું જે વિઝન છે ત્યાં સ્થાનિક મુદ્દાઓને લઈને અને જનતા તરફથી જે અભિપ્રાયો મળ્યા છે સૂચનો મળ્યા રજૂઆતો મળી એના આધારે જનતાનો મેનિફેસ્ટો અને કોંગ્રેસનું કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. ગુજરાતના કે વધતા જતા શહેરી વિસ્તારોના આવનારા ભવિષ્ય સાથે અને સારું જીવન ધોરણ સાથે વિકાસ થાય એ કમિટમેન્ટ સાથે વિઝન જાહેર કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં માત્ર વિકાસની સાથે લોકોના સ્વપ્નનું કમિટમેન્ટ હોય તેવું વિઝન કોંગ્રેસનું છે. શાસકો પાસે નાગરિકો જ્યારે હિસાબ માંગે છે ત્યારે ભાજપના નેતાઓ હિસાબ આપી શકતા નથી અને જગ્યા છોડીને ભાગી જાય છે. નાગરિકો ટેક્સ ભરે છે છતાં પણ નાગરિકોને જોઈએ તેવી સુવિધા મળતી નથી. વિઝન જાહેર કરી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ મહાનગરમાં નાગરિકોને બારેમાસ શુધ્ધ પીવાનું પાણી મળી રહે તેવું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. જે લોકો રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન છે અને ટ્રાફિકની સમસ્યા હોય તેનું પણ નિરાકરણ લાવીશું. વરસાદમાં કારણે અનેક પોસ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે જેથી વરસાદી પાણી ભરાવાનું નિરાકરણ આવે તેવી વ્યવસ્થા કરવાનું કોંગ્રેસનું વિઝન છે. તેમજ વરસાદમાં તબાહી ન થાય તેવું આયોજન કરવાની કોંગ્રેસ દ્વારા તૈયારી કરવામાં આવશે. સરકારી શિક્ષણ અને સારી આરોગ્ય સેવા મળે તેવું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. નાગરિકો ગૌરવ સાથે વ્યવસ્થા મેળવી શકે તેવું આયોજન અને તેવું વ્યવસ્થા આપવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. માત્ર કૌભાંડ ચાલતા હોવાના આક્ષેપ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યારે કટકી કમિશન અને કૌભાંડ ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કરી રહી છે. જ્યાં સુધી ટેન્ડરનું પેમેન્ટ કમલમ સુધી ન પહોંચે ત્યાં સુધી ટેન્ડર બહાર પાડવામાં આવતુ નથી. સમયાંતરે કમિશનની ટકાવારી પણ વધી જાય છે. તેમજ ટેન્ડરની તમામ પ્રક્રિયા લોકો જોઈ શકે તે રીતે કોંગ્રેસમાં શાસનમાં કરવામાં આવશે. ભાજપના ભ્રષ્ટાચારના કારણે અનેક દુર્ઘટનામાં માસુમ લોકોએ જીવ ગુમાવ્યો છે. પારદર્શિકતાની સાથે સાથે કામગીરી કરવાની જવાબદારી કોંગ્રેસ લેશે. જનતાના હાથમાં સત્તા આપવાનું વિઝન પણ અમે રજૂ કરીએ છીએ. સગવડ દરેકને પરવડે તેવું જીવનધોરણ આપવાની કોંગ્રેસનું વિઝન છે. વૈકલ્પિક વ્યવસ્થા નહીં ત્યાં સુધી ડીમોલીશન નહીંનું વચનવધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે ત્યાં સુધી બુલડોઝર મકાનો પર નહીં ચલાવવામાં આવે તેવું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. તેમજ નાના ધંધાર્થીઓને તમામ લોકોને લાઇસન્સ આપીને કાયમી ધંધા વેપાર માટેની જગ્યા આપીશું. શહેરી વિસ્તારમાં મોઘું શિક્ષણ લીધા બાદ પણ કોઈ રોજગારી મળતી નથી. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીશું અને કાયમી ભરતી થાય તે માટે અમે સંકલ્પ લઈએ છીએ. આખા ગુજરાતમાં શહેરી વિસ્તાર ધીમે ધીમે વધી રહ્યા છે. તેમજ ગામડાઓમાંથી લોકો શહેરમાં અનેક આશાઓ સાથે આવે છે. જેથી અમે એવી તક આપીશું કે લોકો જે આશા સાથે આવે છે તે પૂરી કરી શકે. જાહેરમાં લૂંટ ચાલે છે અને ચોક્કસ લોકોનો જ વિકાસ થાય છે જેથી કમિટમેન્ટ કરીએ છીએ કે તમામ વિસ્તારનો સરખો વિકાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:39 pm

પાટણના ખેડૂતોએ અખાત્રીજે ખેતીનું મુહૂર્ત કર્યું:બળદ અને ટ્રેક્ટરને કંકુ તિલક કરી ધરતી પૂજન કર્યું

આજે અખાત્રીજના શુભ મુહૂર્તે પાટણ જિલ્લાના ખેડૂતોએ નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે. આ દિવસે ખેડૂતો ખેતીના સાધનોની પૂજા કરીને નવા પાકની શરૂઆત કરે છે. આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતોએ બળદ ની સાથે ટ્રેક્ટરને પણ કંકુ તિલક કરી ધરતી માતાનું પૂજન કર્યું હતું. અખાત્રીજને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, જે ખેડૂતો માટે નવા કૃષિ વર્ષની શરૂઆતનો દિવસ છે. આ દિવસે ખેડૂતો ખેતીમાં ઉપયોગમાં લેવાતા બળદો, ઓજારો અને ટ્રેક્ટર સહિતની ચીજવસ્તુઓની પૂજાવિધિ પરિવારની દીકરીઓના હસ્તે કરાવે છે. આ પૂજા દ્વારા તેઓ સારા પાક અને સમૃદ્ધ વર્ષ માટે પ્રાર્થના કરે છે. પાટણ જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં ઉગમણી દિશાએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. પરંપરાગત રીતે હળ-બળદથી ખેતી થતી ત્યારે બળદની પૂજા કરવામાં આવતી હતી. આજે પણ કેટલાક ખેડૂતોએ બળદની પૂજા કરી હતી, પરંતુ મોટાભાગના ખેડૂતોએ આધુનિક પદ્ધતિ અપનાવી ટ્રેક્ટર દ્વારા મુહૂર્ત કર્યું. ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કર્યા બાદ ગોળ અને ધાણા વહેંચવામાં આવ્યા હતા. પૂજાવિધિ દરમિયાન ખેડૂતોએ બળદ અને ટ્રેક્ટરને ચાંદલા કર્યા હતા. ત્યારબાદ ધરતી માતાની પૂજા કરી લાલ નાડાછડી બાંધી હતી. બળદ અને ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. ખેડૂતોએ આવનારું વર્ષ ખૂબ સારું રહે અને કુદરત મહેરબાન રહે તેવી પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:30 pm

નવસારી: સૌરાષ્ટ્ર ગયેલા મતદારોને પરત લાવવા ભાજપ સક્રિય:હીરા ઉદ્યોગમાં મંદી અને વેકેશનને કારણે મતદારો વતન ગયા; પક્ષો માટે ચિંતાનો વિષય

નવસારી લોકસભા બેઠક પર ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના મતદારોને પરત લાવવા માટે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને ઉનાળુ વેકેશનને કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો અને તેમના પરિવારો વતન સૌરાષ્ટ્ર પરત ફર્યા છે. આ મતદારોને મતદાન માટે નવસારી લાવવા ભાજપ દ્વારા ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને નવસારી શહેરના વોર્ડ નંબર 1, 2, 3 અને 9માં વસતા સૌરાષ્ટ્રવાસી મતદારો ચૂંટણીના પરિણામોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. 26 એપ્રિલે મતદાન થવાનું હોવાથી, આ મતદારોની ગેરહાજરી રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની છે. નવસારીના જલાલપોર અને શાંતાદેવી રોડ વિસ્તાર હીરા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ સ્થાયી થયા છે. હાલમાં હીરા બજારમાં કામકાજ ઓછું હોવાથી અને શાળાઓમાં વેકેશન શરૂ થતાં ઘણા પરિવારો વતન પરત ફર્યા છે. વતન ગયેલા મતદારોને પરત લાવવા માટે રાજકીય સંગઠનો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મતદારોને લાવવા-લઈ જવા માટે ખાસ બસો અને ખાનગી વાહનોની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ મતદાનની ટકાવારી જાળવી રાખવાનો અને પક્ષને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ અંગે રાજકીય અગ્રણી અભિષેક શાહે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં મંદી અને વેકેશનના કારણે લોકો વતન ગયા છે તે સાચું છે, પરંતુ મતદારોમાં ઉત્સાહ અકબંધ છે. ભાજપ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દરેક મતદાર પોતાનો કિંમતી મત આપી શકે. અમે મતદારોના સંપર્કમાં છીએ અને તેઓ પણ જાગૃત હોવાથી મતદાન કરવા ચોક્કસ આવશે. વોર્ડ નંબર 3ના ઉમેદવાર દિવ્યકાન્ત પનારાએ ઉમેર્યું હતું કે, અમે દરેક કારીગર અને મતદારનો ફોન દ્વારા સંપર્ક કર્યો છે. પ્રતિસાદ ઘણો સકારાત્મક છે. ઘણા લોકોએ તો સ્વૈચ્છિક રીતે પોતાની બસ કે ગાડીની વ્યવસ્થા કરી છે અને ખાતરી આપી છે કે તેઓ મતદાન કરવા માટે નવસારી જરૂર આવશે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકીય પક્ષો હવે ડોર-ટુ-ડોર પ્રચારની સાથે 'વતન પહોંચો' અભિયાન પણ ચલાવી રહ્યા છે. 26 એપ્રિલે આ મહેનત કેટલી સફળ થાય છે તે પરિણામો જ દર્શાવશે, પરંતુ હાલમાં તો રાજકીય પક્ષો માટે આ સ્થિતિ એક પડકાર સમાન બની છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:13 pm

ભરૂચમાં ભાજપની સભા, પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર પ્રહાર:સ્થાનિક ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો, વિકાસ સંકલ્પ વ્યક્ત

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. પક્ષો દ્વારા પ્રચાર તેજ બન્યો છે, અને આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ વેગવાન બની છે. આ માહોલ વચ્ચે, ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર 'વિકાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને વાગરા વિધાનસભા વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલા ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ સભા યોજાઈ હતી. સભા પૂર્વે, ડો. પ્રશાંત કોરાટ સહિત ભાજપના આગેવાનોએ ભારેશ્વર મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા અને વિજય તથા વિકાસનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ યોજાયેલી જનસભામાં ભાજપના નેતાઓએ વિકાસના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખીને મતદારોને સંબોધ્યા હતા. જનસભાને સંબોધતા ડો. પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જેને વિધાનસભાની સેમિફાઇનલ માનવામાં આવે છે, તેમાં કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવારો કે સ્પષ્ટ આયોજન નથી. તેમણે ઉમેર્યું કે ભાજપે બૂથ લેવલથી પ્રદેશ સ્તર સુધી વિકાસ કાર્યો દ્વારા જનતાનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. કોરાટે દાવો કર્યો કે રાજ્યમાં ચૂંટણી પહેલાં જ ભાજપે 700થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યા છે. આ સ્થિતિ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોની નબળાઈ દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું. તેમણે મહિલા અનામત મુદ્દે કોંગ્રેસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે દેશની નારી શક્તિ આવા વલણને ક્યારેય માફ નહીં કરે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકાસની યાત્રા સતત આગળ વધી રહી છે. આ સંમેલનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રભારી મંત્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, જીગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, ખુમાનસિંહ વાંસિયા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકના એમડી અજયસિંહ રણા સહિતના અનેક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. આમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભરૂચ જિલ્લામાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે, અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:07 pm

વલસાડમાં મતદારે લગાવ્યું બેનર: 'મત ભાજપને, પ્રચાર માટે ન આવવું':ઉમેદવારો સામે મતદારનો અનોખો વિરોધ

વલસાડ તાલુકાના દિવેદ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ સામે આવ્યો છે. અહીં એક મતદારે પોતાના ઘરની બહાર બેનર લગાવીને રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રચાર માટે ઘરે ન આવવા જણાવ્યું છે, જોકે તેમનો મત ભાજપને જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી છે. દિવેદ ગામના અભિલાષ પટેલે લગાવેલા આ બોર્ડમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, અમારો મત ભાજપને, પણ કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે ઘરે આવવું નહીં. આ બેનર દ્વારા તેમણે ભાજપ પ્રત્યેની પોતાની વફાદારી દર્શાવી છે, પરંતુ સ્થાનિક ઉમેદવારો પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે.બન્યા છે. અભિલાષ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ભાજપના સમર્થક છે અને તેમનો મત ભાજપને જ જશે. જોકે, વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારો સાથેના ભૂતકાળના અનુભવો અને કેટલાક કિસ્સાઓમાં થયેલા 'અનાદર'ને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીના નામે કોઈપણ ઉમેદવાર ચૂંટણી જીતી જાય છે. પક્ષ અને નરેન્દ્ર મોદીના નામે જીત નિશ્ચિત હોવાથી પ્રચાર માત્ર એક ઔપચારિકતા જ રહી ગઈ છે. સામાન્ય રીતે ચૂંટણીમાં લોકો પક્ષનો વિરોધ કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં મતદાર પક્ષને સમર્થન આપીને વ્યક્તિગત ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ પ્રકારના બેનરો રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:06 pm

ભરૂચમાં વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:10 ટીમો ભાગ લેશે, એકતા વધારવાનો ઉદ્દેશ્ય

ભરૂચમાં સમસ્ત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે. યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને સમાજમાં એકતા સ્થાપવાના ઉદ્દેશ્યથી મા મણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, નવેઠા દ્વારા આ એક દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ભરૂચ જિલ્લા DSP ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અને દીવ-દમણના ભાજપ પ્રભારી દુષ્યંત પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને રમતગમતમાં શિસ્ત, એકતા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ જાળવવા પ્રેરણા આપી હતી. મા મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજી પરમાર સહિતના આગેવાનોએ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટુર્નામેન્ટમાં જિલ્લાની કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકોએ જણાવ્યું કે, આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા વધારવાનો અને યુવાનોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવાનો છે. આગામી સમયમાં રસપ્રદ મેચો યોજાશે, જેને લઈને રમતપ્રેમીઓમાં આતુરતા છે. આ પ્રસંગે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સમાજના આગેવાનો રાજેન્દ્ર સુતરિયા અને કાંતિભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. મનીષ પરમાર અને તેમની ટીમે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:04 pm

વટવામાં ભાજપની કેસરિયા પદયાત્રા:ઉમેદવારોએ સાફો પહેરી વિજયના વિશ્વાસ સાથે પ્રચાર કર્યો, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. આજે 19 એપ્રિલના રોજ રવિવારે વટવા વોર્ડમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા રણછોડ રાયજી મંદિર થઈને વટવા વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. વટવા વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારનું લોકોએ સ્વાગત કર્યું હતું અને ઠેર-ઠેર જગ્યાએ ઉમેદવારોએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. યાત્રામાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ અને વટવા ધારાસભ્ય બાબુસિંહ જાદવ પણ જોડાયા હતા. પૂર્વના વિકાસ માટે નેતાઓએ લોકોને વિશ્વાસ અપાવ્યોવટવામાં છેલ્લા ઘણા ટર્મથી ભાજપ માટે એક ગઢ સમાન રહ્યું છે, તેવા સમયે આ ગઢ જાળવી રાખવા અને વિકાસ વધે તેવો પ્રયાસ ઉમેદવાર કરી રહ્યા છે. ઉમેદવારોએ શહેરના પશ્ચિમની જેમ જ પૂર્વનો પણ વિકાસ થાય તેવો વિશ્વાસ લોકોને અપાવ્યો હતો. ભાજપના ઉમેદવાર પ્રતિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા છેલ્લા 12 વર્ષમાં વટવામાં જે વિકાસ કર્યો છે, તેના આધારે ભવ્ય જીત મેળવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વટવા વિધાનસભામાં વિકાસની હરણફાળ ભરી છે અને આ વિકાસ અવિરત રહેશે. ઉમેદવારોએ પોતાની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યોભાજપના ચારે ઉમેદવારો માથા ઉપર સાફો પહેરી અને પ્રચારમાં નીકળ્યા હતાં. પૂર્વગ્રહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપના ઝંડા સાથે આકરી ગરમીમાં પ્રચારમાં નીકળ્યા હતા. વટવાના અલગ-અલગ વિસ્તારોમાં આ રેલી નીકળી હતી અને ઉમેદવારોએ પોતાની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:59 pm

'શિખા અને તિલકના કારણે મારે નોકરી ગુમાવવી પડી':લેન્સકાર્ટના ડ્રેસકોડના વિવાદ વચ્ચે સુરતના યુવકનો આક્ષેપ, ભારે વિવાદ બાદ કંપનીએ નવી ગાઈડલાઈન જાહેર કરી

લેન્સકાર્ડની ડ્રેસકોડની ગાઈડલાઈનને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. જેની વચ્ચે સુરતના એક યુવકે આક્ષેપ કરતા કહ્યું છે કે, તેને શિખા અને તિલકના કારણે લેન્સકાર્ટમાંથી નોકરી ગુમાવવી પડી હતી. મહત્વનું છે કે, લેન્સકાર્ડની ડ્રેસકોડ ગાઈડલાઈનના વકરી રહેલા વિવાદ વચ્ચે કંપની દ્વારા માફી માગી લેવામાં આવી છે. હવે કર્મચારીઓ બિંદી અને તિલક કરી શકશે. કંપની દ્વારા નવી ગાઈડલાઈન પણ ઈસ્યૂ કરી દેવામાં આવી છે. તિલક અને શિખાના કારણે નોકરી ગુમાવવી પડી હોવાનો આક્ષેપમૂળ સુરતના રહેવાસી ઝીલ સોઘાસિયાની પસંદગી લેન્સકાર્ટમાં ટ્રેનિંગ માટે થઈ હતી. આ માટે તેને મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યો હતો. ઝીલ એક સનાતની હિન્દુ યુવાન છે અને તે નિયમિતપણે કપાળ પર તિલક ધારણ કરે છે તેમજ માથા પર શિખા (ચોટલી) રાખે છે. આ બંને તેની ધાર્મિક ઓળખ અને આસ્થાના અતૂટ ભાગ છે. ટ્રેનિંગના પ્રથમ દિવસે જ જ્યારે ઝીલ કંપનીના કેમ્પસમાં પહોંચ્યો, ત્યારે મેનેજમેન્ટ અને ટ્રેનર્સ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે કંપનીના 'ગ્રીમિંગ સ્ટાન્ડર્ડ્સ' (દેખાવના નિયમો) મુજબ તેને તિલક ભૂંસવું પડશે અને શિખા કપાવવી પડશે. ઝીલે વિનમ્રતાપૂર્વક સમજાવ્યું કે આ તેની ધાર્મિક માન્યતાઓ છે અને તેનાથી કામમાં કોઈ અવરોધ આવતો નથી. જોકે, આક્ષેપ મુજબ, કંપનીના જવાબદાર અધિકારીઓએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો તેને ટ્રેનિંગ ચાલુ રાખવી હોય તો આ ધાર્મિક ચિહ્નો દૂર કરવા જ પડશે. ઝીલ સોઘાસિયાએ પોતાની આસ્થા સાથે સમાધાન કરવાને બદલે સ્વાભિમાનનો માર્ગ પસંદ કર્યો. તેણે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો કે તે પોતાના ધર્મનું અપમાન કરીને નોકરી કરશે નહીં. પરિણામે, તેને ટ્રેનિંગ સેન્ટરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો છે. મને કહ્યું- તિલક અને શિખા નહીં હટાવો તો જોબ નહીં મળે- ઝીલભોગ બનનાર ઝીલ સોઘાસિયાએ જણાવ્યું હતું કે, લેન્સકાર્ટ કંપનીનો મારા પર કોલ આવેલો હતો જોબ માટે અને પછી અહીં સુરત એરિયામાં વેસુમાં ઇન્ટરવ્યુ દેવા માટે ગયેલો હતો. અને ત્યાં એ લોકોએ મને શિખા કે તિલક અલાઉડ નથી એવું કાંઈ કીધેલું નહીં અને હું ન્યૂ મુંબઈમાં લેન્સકાર્ટનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. ત્યાં મને બીજા દિવસે કાઢી મૂકેલો કે તમારે આ શિખા અને તિલક ચાંદલો છે એ હટાવવો પડશે. જો તમે શિખા નહીં કાપો અને તિલક ચાંદલો નહીં હટાવો તો અમે તમને જોબ નહીં આપી શકીએ. અને હાથમાં જે આપણે ધર્મ રિલેટેડ જે ટેટૂ હોય તો એ પણ રિમૂવ કરવા કીધેલું. વિવાદની વચ્ચે કંપની દ્વારા માફી માગી, નવી ગાઈડલાઈન જાહેર કરીડ્રેસકોડને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે લેન્સકાર્ડ દ્વારા માફી માગવામાં આવી છે. આ સિવાય કંપની દ્વારા એક નવી અને પારદર્શી ઈન્ સ્ટોર સ્ટાઈ ગાઈડ જાહેર કરી છે. જેમાં કર્મચારીઓને નોકરીના સ્થળ પર પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીકો પહેરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. We have heard you. Clearly and openly. Over the past few days, our community and customers have spoken - and we have listened.Today, we are standardizing our In-Store Style Guide and sharing it publicly and transparently: https://t.co/lC8KlLLUZmThese guidelines explicitly and…— lenskart (@Lenskart_com) April 18, 2026 લેન્સકાર્ડની નવી પોલિસીમાં હવે બિંદી, તિલક, સિંદૂર, કલાવા, મંગલસૂત્ર, કડા, હિજાબ અને પાઘડી જેવા આસ્થાના પ્રતીકોને સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, તે પોતાની ગાઈડલાઈનને સાર્વજનિક અને પારદર્શી બનાવી રહ્યા છે જેથી ગ્રાહકો અને સમાજની ચિંતાઓને દૂર કરી શકાય.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:49 pm

મધ્યપ્રદેશમાં પોલીસ પર હુમલો કરી ફરાર આરોપી ઝડપાયો:પંચમહાલના જંગલમાંથી વોન્ટેડ શૈલેષ જીતુજી ઝડપાયો, MP પોલીસને સોંપાશે

પંચમહાલ પોલીસે મધ્યપ્રદેશમાં પોલીસ ટીમ પર હુમલો કરી ફરાર થયેલા વોન્ટેડ આરોપી શૈલેષ જીતુજીને ઝડપી પાડ્યો છે. ગોધરા તાલુકા પોલીસે મેરપ ગામના જંગલ વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો હતો. ગોધરા રેન્જ IG વી.વી. ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતની સૂચના હેઠળ, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ગોધરા તાલુકા પોલીસ સક્રિય હતી. આ કાર્યવાહી દરમિયાન, પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલ અને તેમની સર્વેલન્સ ટીમને ગુપ્ત માહિતી મળી હતી. બાતમી મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપી શૈલેષ જીતુજી મેરપ ગામના જંગલ વિસ્તારમાં છુપાયો હતો. માહિતી મળતા જ ગોધરા તાલુકા પોલીસે તાત્કાલિક મધ્યપ્રદેશ પોલીસ સાથે સંકલન કર્યું. સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જંગલ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું અને આરોપી શૈલેષ જીતુજીને ઘેરીને ઝડપી પાડવામાં આવ્યો. ગોધરા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી શૈલેષ જીતુજીનો કબજો અલીરાજપુરની કઠીવાડા પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:49 pm

નવસારીના દેવલ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ:છઠ્ઠા માળે શોર્ટ સર્કિટથી આગ, કોઈ જાનહાનિ નહીં

નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આવેલા દેવલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આજે આગ લાગવાની ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, દેવલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના રહીશો તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગ લાગી ત્યારે ફ્લેટમાં હાજર લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગના કારણે ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલ કેટલું નુકસાન થયું છે અને આગ લાગવાનું સચોટ કારણ શું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:26 pm

મહીસાગરમાં અખાત્રીજે ખેડૂતોએ ખેતીના શ્રીગણેશ કર્યા:ચનસર ગામે પરંપરાગત રીતે ધરતી પૂજન; બળદને ચાંદલો કરી, નાળાછડી બાંધી અને ગોળ ખવડાવાયો

અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના પર્વને ખેડૂતો દ્વારા અત્યંત શુભ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને કૃષિ ક્ષેત્રે નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ દિવસે કરવામાં આવેલી કોઈપણ શરૂઆત અક્ષય ફળ આપે છે. આ પરંપરાને જાળવી રાખીને મહીસાગર જિલ્લાના ચનસર ગામ સહિત સમગ્ર પંથકમાં ખેડૂતોએ સારા પાક અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે ખેતી કાર્યનો વિધિવત પ્રારંભ કર્યો છે. બળદ અને આધુનિક સાધનોનું પૂજનચનસર ગામમાં ખેડૂતોએ પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર ખેતી કાર્ય શરૂ કર્યું હતું. સવારે વહેલા ઉઠીને ખેડૂતોએ પશુધનની સેવા કરી બળદની પૂજા કરી હતી. બળદને ચાંદલો કરી, નાળાછડી બાંધી અને ગોળ ખવડાવી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આધુનિક યુગને અનુરૂપ ખેડૂતોએ ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનોની પણ પૂજા અર્ચના કરી હતી. 7 પ્રકારના ધાન્યનું વાવેતરસાધનોની પૂજા કર્યા બાદ ધરતી માતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. શુભ મુહૂર્તમાં 7 પ્રકારના ધાન્યનું વાવેતર કરી, ખાતર અને પાણીનું સિંચન કરીને વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોએ આગામી સિઝનમાં મબલખ પાક ઉતરે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંપરા અને આધુનિકતાનો સમન્વયસ્થાનિક ખેડૂત ખેમા પટેલના જણાવ્યા અનુસાર, દર વર્ષે અખાત્રીજના દિવસે વહેલી સવારે બળદને તૈયાર કરી ખેતરમાં લાવવામાં આવે છે. ત્યાં પૂજન વિધિ બાદ અનાજ વાવીને પ્રભુ પાસે સારો વરસાદ અને સારી આવક માટે પ્રાર્થના કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ખેતીમાં નવી ટેક્નોલોજી અને મશીનરીનો વપરાશ વધ્યો છે, તેમ છતાં મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે પણ બળદ આધારિત પરંપરાગત ખેતી જીવંત જોવા મળે છે. આમ, ખેડૂતોએ આસ્થા અને આધુનિકતાના સમન્વય સાથે નવા કૃષિ વર્ષની હર્ષોલ્લાસ સાથે શરૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:07 pm

હનુમાન મંદિર બચાવવા ભાજપના જ ગઢમાં ઊભો કરાયો અપક્ષ ઉમેદવાર:વોર્ડ નં. 11 અડાજણમાં અશાંતધારાના વિવાદ વચ્ચે સ્થાનિકોએ મેદાને ઉતાર્યો પોતાનો ઉમેદવાર

સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં સ્થિત અડાજણ વિસ્તાર, જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો અભેદ ગઢ ગણાય છે, ત્યાં આ વખતે રાજકીય સમીકરણોમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ગોરાટ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના હનુમાન મંદિરની આસપાસ અન્ય ધર્મના લોકો દ્વારા કરવામાં આવેલા નવા બાંધકામો અને ફ્લેટની ફાળવણીને લઈને સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે, આ વિસ્તારમાં અશાંતધારો અમલી હોવા છતાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વારંવારની રજૂઆતો છતાં સત્તાધારી પક્ષ કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, હવે આ ગઢના પાયા હચમચી રહ્યા છે અને લોકોએ પક્ષની સામે જ પોતાનો ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય કર્યો છે. ગોરાટ હનુમાન મંદિર અને અશાંતધારા કાયદાનું કથિત ઉલ્લંઘનચૂંટણીના આ માહોલમાં અડાજણના હનુમાન ચોકમાં મુખ્ય મુદ્દો પાણી કે ગટર નથી, પરંતુ 'અશાંતધારો' છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગોરાટ હનુમાન મંદિરની બિલકુલ અડીને જ અન્ય ધર્મના લોકો માટે મોટા રહેણાંક પ્રોજેક્ટ્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. અશાંતધારાના કાયદા મુજબ, મિલકતની તબદીલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી અને પડોશીઓની સંમતિ જરૂરી હોય છે, છતાં અહીં કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો રહીશોનો દાવો છે. આ મુદ્દે સ્થાનિકોએ નાયબ કલેક્ટર સુધી લડત ચલાવી છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આસ્થા અને કાયદાના રક્ષણ માટે લોકો રસ્તા પર ઉતર્યા છે. પક્ષોના આશ્વાસનથી કંટાળી સ્થાનિકોએ તરુણ પટેલને ઉમેદવાર બનાવ્યાચૂંટણી નજીક આવતા જ જ્યારે વિવિધ પક્ષના નેતાઓ મતોની અપેક્ષાએ વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે રહીશોએ એક જ શરત મૂકી હતી: અશાંતધારાનું પાલન કરાવો અને મંદિરની ગરિમા જાળવો. જોકે, કોઈ પણ પક્ષ દ્વારા આ બાબતે લેખિત ખાતરી કે મજબૂત આશ્વાસન આપવામાં આવ્યું ન હતું. આથી, વોર્ડ નંબર 11 ના જાગૃત નાગરિકોએ એકઠા થઈને વિસ્તારના જ સ્થાનિક અને ખેતીવાડી સાથે જોડાયેલા તરુણકુમાર પટેલને અપક્ષ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપના આ પરંપરાગત ગઢમાં હવે જનતાના ઉમેદવાર અને પક્ષના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ગોરાટ હનુમાન મંદિરના સંચાલકો અને રહીશોની આરપારની લડાઈમંદિરને બચાવવા અને વિસ્તારની સામાજિક સમતુલા જાળવી રાખવા માટે મંદિરના સંચાલકોએ પણ આ જનઆંદોલનને સમર્થન જાહેર કર્યું છે. હનુમાન ચોક વિસ્તારમાં યોજાયેલી 'ચોપાલ'માં રહીશોએ એકસૂરે જણાવ્યું હતું કે, જે પક્ષ અમારી સંસ્કૃતિ અને સુરક્ષાનું ધ્યાન નથી રાખી શકતો, તેને મત આપવાનો કોઈ અર્થ નથી. આ જ કારણ છે કે વર્ષોથી ભાજપને મત આપતા પરિવારોએ હવે પોતાની જ સેના તૈયાર કરી છે. આ અપક્ષ ઉમેદવાર માત્ર એક વ્યક્તિ નથી, પણ તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોનો સામૂહિક અવાજ બનીને ઉભર્યા છે. લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર અથવા રાજકીય રહેમનજર હેઠળ કાયદાને નેવે મૂકવામાં આવ્યોસ્થાનિક પ્રતિનિધિઓ અને કોર્પોરેટરો સામે લોકોનો ભારે રોષ છે. રહીશોનું કહેવું છે કે જ્યારે અન્ય ધર્મના લોકોના બાંધકામની શરૂઆત થઈ ત્યારે જ જાણ કરવામાં આવી હતી, છતાં મૌન સેવવામાં આવ્યું. અશાંતધારાના વિસ્તારમાં આટલા મોટા પાયે મિલકતોની હેરાફેરી કેવી રીતે થઈ તે એક તપાસનો વિષય છે. લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર અથવા રાજકીય રહેમનજર હેઠળ કાયદાને નેવે મૂકવામાં આવ્યો છે. આ રોષ હવે વોટિંગ મશીન પર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે લોકો હવે પોલા આશ્વાસનોમાં આવવા તૈયાર નથી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:07 pm

ગાંભુ ગામમાં 15 હજારના બોરવેલના કેબલની ચોરી:તસ્કરોએ બારી તોડી અંદર પ્રવેશ કર્યો; ફ્યુઝ કાઢી બોરથી સ્ટાર્ટર સુધીનો વાયર કાપી ગયાં

મહેસાણા જિલ્લાના ગાંભુ ગામની સીમમાં તસ્કરોએ ખેતીના બોરવેલને નિશાન બનાવી કેબલ વાયરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો આશરે ₹15,000ની કિંમતનો 10 મીટર લાંબો કેબલ વાયર ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતગાંભુ ગામના 70 વર્ષીય ખેડૂત ઈશ્વરભાઈ મોહનભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામની સીમમાં આવેલા 'વીડ આંટા' વિસ્તારમાં તેમનો ભાગીદારીમાં બોરવેલ આવેલો છે. ગત 17 એપ્રિલની સાંજે તેઓ બોર બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે એટલે કે 18 એપ્રિલની સવારે જ્યારે તેઓ ખેતરે પહોંચ્યા, ત્યારે બોરના રૂમની પાછળની બારી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. તસ્કરોની મોડસ ઓપરેન્ડીતસ્કરોએ રૂમની પાછળની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરી કરતા પહેલા સાવચેતી રૂપે તસ્કરોએ ફ્યુઝ કાઢી નાખ્યા હતા અને ત્યારબાદ બોરથી સ્ટાર્ટર સુધીનો 35 mmનો 10 મીટર લાંબો કેબલ વાયર કાપી લીધો હતો. આ વાયરની બજાર કિંમત આશરે ₹15,000 જણાવવામાં આવી છે. પોલીસ કાર્યવાહીખેડૂતે આ અંગે મોઢેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:04 pm

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું:શા માટે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન? જાણો રેલવે સ્ટેશન પર મુસાફરોની દયનીય સ્થિતિના કારણો

ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું.અંત્યોદય ટ્રેન માટે 2-2 કિમીની લાંબી લાઈનો લાગી.ન માથે શેડ ન પીવાના પાણીની સુવિધા... ધોમધખતા તાપ વચ્ચે 16 -16 કલાકોથી મુસાફરો વતનની વાટે જવા ટ્રેનની રાહમાં છે..કોઈ પત્નીની અસ્થિઓ હાથમાં લઈને લાઈનમાં છે.. તો કોઈ આકરા તાપમાં બેભાન થયું..પીવાના પાણી માટી પડાપડી થઈ.. બાળકો- વૃદ્ધો સૌ પરેશાન..આખરે કેમ રેલવે સ્ટેશન બન્યુ યુદ્ધનું મેદાન..ઉનાળું વેકેશન અને લગ્નસરાની સિઝનને કારણે લોકોનો ધસારો વધ્યો છે. તો મિડલ ઈસ્ટમાં ચાલતી યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ સિલિન્ડરની અછત છે.ખાવા-પીવાની વ્યવસ્થા ન થતા લોકો વતન પરત જઈરહ્યા છે. આ જ કારણો છે કે રેલવે સ્ટેશન પર ક્ષમતા કરતા વધુ લોકો પહોંચ્યા.. પણ વાંક માત્ર પરિસ્થિતિનો જ નથી..કારણોથી વાકેફ હોવા છતાં તંત્રએ યોગ્ય આયોજન ન કર્યું.. લોકોનો મોટી માત્રામાં ધસારો હોવા છતાં માત્ર બે જ ટ્રેનો રિઝર્વ્ડ રાખવામાં આવી. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો. અને તંત્રને પણ પરિસ્થિતિ કંટ્રોલમાં લેવામાં આંખે પાણી આવી ગયા. હાલ તો બંને ટ્રેનો રવાના થઈ ગઈ છે.. જો કે કેટલાંક મુસાફરો એવા પણ છે,, જેમને ખૂબ રાહ જોયા પછી પણ ટ્રેનમાં જગ્યા ન મળી અને તેમણે વીલા મોઢે પાછા જવું પડ્યું.વીડિયોમાં જુઓ સ્ટેશન પર મુસાફરોની અમાનવીય દશા..

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:55 pm

પાળીયાદ-રાણપુર રોડ પર અકસ્માતમાં 2ના મોત:બાઈકસવાર પરિવારને કારે ઉલાળ્યો, એક મહિલા અને પુરૂષનું પ્રાણપંખેરું ઉડી ગયું, એક બાળક સહિંત 2ને રાજકોટ ખસેડાયા

બોટાદ જિલ્લાના પાળીયાદ-રાણપુર રોડ પર ગઈકાલે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. બાઈક પર પીપરડીનો પરિવાર હતોપ્રાપ્ત માહિતી અનુસાર, પીપરડી ગામનો એક પરિવાર બાઈક પર સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે પાળીયાદ-રાણપુર રોડ પર પૂરપાટ ઝડપે આવતી કાર સાથે તેમની ટક્કર થઈ હતી. બાઈક પર કુલ 4 વ્યક્તિઓ (1 પુરુષ, 2 મહિલા અને 1 બાળક) સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક અને એક મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતકોઅમિત કનેટીયા અને જસુબેન (રહે. પીપરડી). ઈજાગ્રસ્તોઅકસ્માતમાં ઘાયલ થયેલી અન્ય એક મહિલા અને બાળકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતાં જ પાળીયાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:54 pm

લ્યો બોલો! પોસ્ટર બાદ હવે પેમ્ફલેટનો વરસાદ કરી વિરોધ:ભાજપ ઉમેદવાર નીતિન દોંગાના ફોટા પર ચોકડીના નિશાન સાથેના પેમ્ફલેટ, માસ્કમેન હોવાની આશંકા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. ત્યારે વડોદરા મનપાની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ફરી એક વાર માસ્કમેને ભાજપના ઉમેદવાર ઉમેદવાર નીતિન દોંગાને નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. એટલે કે કેટલીક સોસાયટીમાં ભાજપના ઉમેદવારોના ફોટા પર ચોકડીના નિશાન સાથેના પેમ્ફલેટનો વરસાદ કર્યો હતો. ઉમેદવારોના ફોટા પર ચોકડીના નિશાન સાથેના પેમ્ફલેટવડોદરામાં અગાઉ પોસ્ટરો અને બેનરો દ્વારા વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ હવે પેમ્ફલેટ અને ડિજિટલ માધ્યમો દ્વારા થતા આ વિરોધે સત્તાધારી પક્ષની ચિંતા વધારી દીધી છે. વોર્ડ નંબર 10માં આવેલા મકરંદ દેસાઈ રોડ, સ્વામિનારાયણ ટેમ્પલ પાસેની અભિષેક સોસાયટી સહિતના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો સામે પેમ્ફલેટનો વરસાદ કરવામાં આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર નીતિન દોંગા તેમજ અવની સ્ટેમ્પવાળાના ફોટા પર ચોકડીનું નિશાન મારીને આક્રોશ વ્યક્ત કર્યો છે. પેમ્ફલેટ માસ્કમેનના ઈન્સ્ટા આઈડીનો ક્યૂઆર કોડઉલ્લેખનીય છે કે વોર્ડ 10ના ઉમેદવાર નીતિન દોંગાએ બે દિવસ પહેલા 'માસ્ક મેન' નામના વ્યક્તિને ફોન કરી ધમકી આપી હોવાની કથિત ઓડિયો વાયરલ થઈ હતી. ત્યારે આ પેમ્ફલેટ દ્વારા વિરોધ કરનાર માસ્ક મેન હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે પોસ્ટર પાછળ માસ્કમેનનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ક્યૂઆર કોડ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં સતાધારી પાર્ટીના વિરોધના વંટોળ વચ્ચે શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:40 pm

સોશિયલ મીડિયામાં યુવકને સીન સપાટા કરવા ભારે પડ્યા:ચોરવાડમાં યુવકને લક્ઝરી કારના સ્ટેયરીંગ પરથી હાથ હટાવી રીલ બનાવવી ભારે પડી; ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા નીકળેલા યુવકની સીન-સપાટા બાદ પોલીસ મથકે હવાતિયાં.

આજના ડિજિટલ યુગમાં યુવા ધન સોશિયલ મીડિયાના રવાડે ચડ્યું છે. લાઈક્સ, વ્યૂઝ અને ફોલોવર્સ મેળવવાની હોડમાં યુવાનો પોતાની અને અન્યની જિંદગીની કિંમત ભૂલી રહ્યા છે. ફેમસ થવાની ઘેલછામાં ક્યારેક જીવના જોખમે સેલ્ફી લેવી, તો ક્યારેક ચાલુ બાઈકે સ્ટંટ કરવા જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવો જ એક કિસ્સો જૂનાગઢના ચોરવાડમાં સામે આવ્યો છે, જ્યાં એક યુવકે લક્ઝરી કારમાં સ્ટેયરીંગ પરથી હાથ મૂકી, છૂટા હાથે ગાડી ચલાવતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો અને આખરે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ​હાલમાં સોશિયલ મીડિયા જાણે કે એક વ્યસન બની ગયું છે. ખાસ કરીને યુવાનોમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ફેસબુક સ્ટોરીઝ માટે ગમે તે હદ સુધી જવાની વૃત્તિ વધી રહી છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે યુવકોને ખ્યાલ નથી હોતો કે રસ્તા પર કરવામાં આવતા આ સ્ટંટ ક્યારેક જિંદગીનો છેલ્લો સ્ટંટ બની શકે છે. આ પ્રકારના કૃત્યો માત્ર સ્ટંટ કરનાર માટે જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જૂનાગઢ પોલીસે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ આવા તત્વો સામે લાલ આંખ કરી છે. ​ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ફુલરામા બરડા વાડી વિસ્તારનો હિતેશભાઈ બાબુભાઈ જોરા નામનો યુવક પોતાની ફોર વ્હીલર કાર ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને વીડિયો શૂટ કરવા માટે તેણે સ્ટેયરીંગ પરથી હાથ હટાવી લીધા હતા. માનવ જિંદગી જોખમાય તે રીતે જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવી, તેના સીન-સપાટાનો વીડિયો સોશિયલ મીડિયા આઈડી પર અપલોડ કર્યો હતો. આ વીડિયો પોલીસના ધ્યાને આવતા જ જૂનાગઢ પોલીસ અધિક્ષક અને માંગરોળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ​ચોરવાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આઈ. રાઠોડ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને વીડિયોના આધારે આ ઈસમની ઓળખ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હિતેશ જોરાને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવ્યો હતો. જે યુવક થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર 'હીરો' બનવા નીકળ્યો હતો, તે પોલીસના સકંજામાં આવતા જ ફિક્કો પડી ગયો હતો. પોલીસે તેની વિરુદ્ધ જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકવા બદલ અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને વિડીયો બનાવનાર યુવકે પોલીસ પાસે માફી માગી હતી. ​આજના સમયમાં સોશિયલ મીડિયાનું વળગણ એટલું હદ સુધી વધી ગયું છે કે યુવાનો ફિલ્મી સ્ટંટને હકીકત માની બેસે છે. ફિલ્મોમાં આ સ્ટંટ નિષ્ણાતોની દેખરેખ હેઠળ અને સુરક્ષિત વાતાવરણમાં થતા હોય છે, જ્યારે સામાન્ય રસ્તાઓ પર આવા પ્રયોગો મોતને નિમંત્રણ આપવા સમાન છે. પોલીસ દ્વારા આ કાર્યવાહી મારફતે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નામે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનારાઓને સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. ​પોલીસની આ કડક કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર જોખમી રીલ્સ બનાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના સંતાનો સોશિયલ મીડિયા પર શું કરી રહ્યા છે અને કઈ રીતે વાહન ચલાવે છે તેના પર દેખરેખ રાખે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:17 pm

ભાવનગરના 304મા જન્મદિવસ અનેક વિધ કાર્યક્રમો યોજાયા:રાજકીય અગ્રણીઓ અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવોએ દિવંગત રાજવીઓને પુષ્પાંજલિ અર્પણ કરી

આજે 19 એપ્રિલે ભાવનગરના 304મા સ્થાપના દિન અન્વયે અલગ અલગ રાજકીય હોદ્દેદારો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના અગ્રણીઓ તથા નેતાઓ સાથે સામાજિક ક્ષેત્રના તેમજ ઔદ્યોગિક એકમકારો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં ભાવનગરની સ્થાપના કરનાર મોતીબાગ સ્થિત મહારાજા ભાવસિંહજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી એવી જ રીતે દરબારી કોઠાર ખાતે આવેલ રાજવંશજોના સમાધિ સ્થળે દિવંગત મહારાજાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નીલમબાગ સ્થિત પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 'ભાવેણાવાસીઓના ઘરે ઘરે આનંદની વાત છે'આ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ભાવનગરનો જન્મદિવસ જે દિવસે તોરણ બંધાયું હતું, એ વિશેષ રીતે ઉજવણી થાય છે. અમારા સૌ સાથીઓ, ભાવનગર જન્મોત્સવ સમિતિ મેં એમને વિનંતી કરી વિચાર મૂક્યો અને એમણે સ્વીકાર્યો અને લગભગ આઠ-નવ વર્ષથી ભાવનગરનો જન્મદિવસની ઉજવણી અખાત્રીજના દિવસે વિશિષ્ટ રીતે કરી રહ્યા છીએ. આજે અખાત્રીજ છે, ભાવનગરનું તોરણ બંધાણનો દિવસ છે. ભાવેણાવાસીઓના ઘરે ઘરે આનંદની વાત છે કે આપણું પ્રજાવત્સલ રાજવીનું ભાવેણું એ વિશેષ ભાવસભર છે. ‘ચૂંટણી આચારસંહિતાના કારણે કાર્નિવલ મુલતવી’વધુમાં જણાવ્યું હતું કે, ખુશી સાથે 304 જેટલી રક્તદાનની બોટલો ગઈકાલે અમે એકત્રિત કરી. જે કાર્નિવલની ઉજવણી બોરતળાવ ખાતે કરતા હોઈએ છીએ વિશેષ ચૂંટણી આચારસંહિતાના કારણે મુલતવી રાખી છે. એમાં સૌ નામાંકિત કલાકારો કીર્તિદાનભાઈ, સાઈરામભાઈ, રાજદાનભાઈ, કિંજલબેન દવે, દેવાયત ખાવડ આવા અનેક કલાકારો એ સુનિશ્ચિત થયા હતા. ઇલેક્શનના કારણે એ મુલતવી રાખ્યું છે. આવનારા સમયમાં સૌ ભાવેણાવાસીઓ જે પ્રકારે આનંદ સાથે ભાવનગરના જન્મદિવસની ઉજવણી ત્રણ દિવસ બોરતળાવ કાર્નિવલ એટલે કે ભાવનગર કાર્નિવલ નામે ઉજવીએ છીએ એ ઉજવણી આપ સૌના સાથ સહકારથી, જનતાના સાથ સહકારથી હજારો લોકો એનો લાભ લે. એવો જ ઉત્સવ એ રંગારંગ રીતે લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, કલાકારો, આપણું સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર એની જાળવણીના ભાગરૂપે કરીશું. રાજવી પરિવારની સમાધિને પુષ્પાંજલિ​આજના ભાવનગરના જન્મદિસે ભાવસિંહજીનું પ્રતિમા હોય, અહીંયા સમાધિ સ્થળ ઉપર આપણા કૃષ્ણકુમારસિંહજી, તખ્તસિંહજી, ભાવસિંહજી, મહારાણી સાહેબ તમામ રાજવી પરિવારની સમાધિને અમે પુષ્પાંજલિ કરવા માટે આવ્યા છીએ. કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પણ અમે પુષ્પાંજલિ કરવાના છીએ. દિવાળીના દિવસે પણ એટલે કે બેસતા વર્ષના દિવસે પણ અમે આ ક્રમ એ ભાવસિંહજીનું સ્ટેચ્યુ હોય કે સમાધિ સ્થળ હોય. 'મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વિચારધારા જીવંત રાખવાની છે'આ અંગે શહેર કોગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આપણે એવું ભાવેણા બનાવવાનું છે કે જે ભાવેણામાં 18એ વરણના લોકો ખુશ રહી શકે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જે વિચારધારા છે એ હજી આપણે જીવંત રાખવાની છે અને આપણી સૌની જવાબદારી છે. એ તમામે તમામ લોકોની જવાબદારી છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જે વિચારધારા છે, ‘મારી પ્રજાનું કલ્યાણ થજો’, આપણે એવા જ કાર્યો કરવાના છે કે આપણે ભાવનગરની જનતાને સંપૂર્ણ રીતે ન્યાય આપી શકીએ. કોઈપણ એવું આપણે ભાવનગરનું કંઈ અહિત થાય કે એવું કામ અમારાથી તો ક્યારેય નહીં થાય, પણ અમે જે કરતા હશે ને એનાથી થવા પણ નહીં દઈએ અને અમે એની સામે અડગ રહીને ઉભા રહીશું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પૂર્વ મત ક્ષેત્રના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપા પ્રમુખ મહાનગરપાલિકાના કમિશનર રેન્જ આઇ.જી ઉપરાંત ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલભા તથા કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:12 pm

બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણી: ગુંદાળા બેઠક પર મતદારોનો મિજાજ:રોડ, પાણી, સ્ટ્રીટલાઈટ સમસ્યા ઉકેલનારને મત આપવા નિર્ધાર

બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી ૨૬ એપ્રિલે યોજાવાની છે, જેનું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે સઘન તૈયારીઓ કરી રહ્યા છે. આ સંદર્ભે, દૈનિક ભાસ્કરે બોટાદની ગુંદાળા જિલ્લા પંચાયત બેઠક પર મતદારોનો મિજાજ અને તેમની અપેક્ષાઓ જાણવા માટે મુલાકાત લીધી હતી. બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ ૨૦ બેઠકો આવેલી છે, જેમાં ગુંદાળા જિલ્લા પંચાયત બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક હેઠળ ગુંદાળા, સાજણાવદર, ચિરોડા, ગઢાળી, રાજપીપળા, પ્રહલાદ ગઢ, વનાળી અને બોડકી સહિત કુલ ૧૯ ગામોનો સમાવેશ થાય છે. અહીં ૧૫ હજાર મતદારો નોંધાયેલા છે અને આ બેઠક સ્ત્રી અનામત છે. કોંગ્રેસે સાજણાવદર ગામના કોળી સમાજના ઉષાબેન જીતુભાઈ બારડને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે ચિરોડા ગામના ક્ષત્રિય સમાજના ૨૩ વર્ષીય વિદ્યાર્થીની ક્રિષ્નાબા શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી છે. આ બેઠક પર કોળી સમાજના મતો સૌથી વધુ છે, ત્યારબાદ પટેલ અને ક્ષત્રિય સમાજના મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુંદાળા જિલ્લા પંચાયત બેઠકના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેટલાક ગામોમાં સીસી રોડ અને સ્ટ્રીટલાઈટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, હજુ પણ ઘણા ગામોમાં પીવાના પાણી, સ્ટ્રીટલાઈટ અને સીસી રોડની સમસ્યાઓ યથાવત છે. મતદારોનો સ્પષ્ટ મિજાજ છે કે જે ઉમેદવાર આ મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ લાવશે, તેમને જ તેઓ મત આપશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:11 pm

ઉગામેડી: 15 હજાર વસ્તી છતાં સરકારી સુવિધાનો અભાવ:'મીની સુરત' કહેવાતાં ગામમાં સરકારી દવાખાના-વીજળીની સમસ્યા

બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ઉગામેડી જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ગામોમાં મતદારોની અપેક્ષાઓ અને સ્થાનિક સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરાયો હતો. બોટાદની ઉગામેડી બેઠકનું મુખ્ય ગામ ઉગામેડી ૧૫ હજારની વસ્તી ધરાવે છે અને 'મીની સુરત' તરીકે ઓળખાય છે, જ્યાં રત્નકલાકારો હીરા ઘસવા આવે છે. જોકે, આટલી મોટી વસ્તી હોવા છતાં ગામમાં સરકારી દવાખાના અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠક પૈકી ઉગામેડી બેઠક મહત્વની ગણાય છે. આ બેઠકમાં ઉગામેડી, ખોપાળા, લાખણકા, અડતાળા, સખપર, સુરકા, કાપરડી અને વિરડી સહિત 8 ગામોનો સમાવેશ થાય છે. અહીં કુલ 18 હજાર જેટલા મતદારો નોંધાયેલા છે અને આ બેઠક સામાન્ય પુરુષ માટે અનામત રાખવામાં આવી છે. આ બેઠક પર કોંગ્રેસે રણીયાળા ગામના ડો. જગદીશ ગોયાણીને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે ખોપાળા ગામના યુવાન પ્રવીણ ગાબાણીને ટિકિટ આપી છે. આ બેઠક પર પાટીદાર સમાજના મતો સૌથી વધુ છે, ત્યાર બાદ કોળી સમાજ, માલધારી સમાજ અને અન્ય સમાજના મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. ઉગામેડી ગામમાં સરકારી દવાખાનાનો અભાવ એક મોટી સમસ્યા છે. નાની-મોટી બીમારીઓ માટે પણ ગ્રામજનોને શહેરોમાં જઈને મોંઘી સારવાર લેવી પડે છે, જેનાથી સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે. વીજળીની સમસ્યા પણ વ્યાપક છે. ગામમાં જેટકો 66 કેવી સબસ્ટેશન હોવા છતાં દરરોજ વીજળી ગુલ થાય છે. આ ઉપરાંત, દર ગુરુવારે નિયમિત વીજકાપ પણ લાદવામાં આવે છે, જેનાથી ગ્રામજનો પરેશાન છે. રોડ-રસ્તાની સ્થિતિની વાત કરીએ તો, કેટલાક વિસ્તારોમાં રસ્તા સારા છે, પરંતુ મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખરાબ હોવાનું સામે આવ્યું છે. જોકે, પીવાના પાણીની વ્યવસ્થા સારી હોવાનું મતદારો જણાવી રહ્યા છે. ઉગામેડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર નબળું હોવાનું પણ મતદારો કહી રહ્યા છે. મતદારોની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક સરકારી દવાખાનું ખોલવું, વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો અને શિક્ષણના સ્તરમાં સુધારો કરવો વગેરેનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:08 pm

ગીર સોમનાથ રેડ ક્રોસ રાહત દરે આરોગ્ય સેવા આપે છે:સ્ટેટ ચેરમેન અજયભાઈ પટેલે મુલાકાત લઈ કામગીરીની પ્રશંસા કરી

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલે ગીર સોમનાથ રેડ ક્રોસની મુલાકાત લીધી હતી. તેમણે વેરાવળ રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે રાહત દરે અપાતી આરોગ્ય સેવાઓની કામગીરીની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન ગીર સોમનાથ રેડ ક્રોસના ચેરમેન અતુલ એમ. કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટ એન. ઉનડકટ, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, ટ્રેઝરર સમીર ચંદ્રાણી, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ સહિત મેનેજમેન્ટ કમિટીના સભ્યો સેવારામ મુલચંદાણી, પરાગભાઈ ઉનડકટ, રાજુભાઈ પટેલ અને ગીરીશભાઈ વોરાએ સ્ટેટ ચેરમેનનું સ્વાગત કર્યું હતું. તેમણે અજયભાઈ પટેલને સંસ્થા દ્વારા ચાલતી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને બ્લડ બેન્ક સહિતના તમામ વિભાગોની મુલાકાત કરાવી હતી. સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબર 2023ના રોજ રેડ ક્રોસ આરોગ્ય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ શાખા સમગ્ર ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે રાહત દરે સેવા આપવામાં અગ્રેસર બની છે. સંસ્થા પાસે ઉચ્ચ ગુણવત્તાવાળી NHBA માન્યતા પ્રાપ્ત બ્લડ બેન્ક, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ, ડિઝાસ્ટર ટ્રેનિંગ અને સર્જીકલ સાધનો વિનામૂલ્યે વાપરવાની સુવિધા ઉપલબ્ધ છે. હાલમાં જ આયુર્વેદિક પદ્ધતિથી પંચકર્મ અને ગર્ભ સંસ્કાર સહિતના નિદાન અને સારવાર પણ શરૂ કરવામાં આવી છે. અજયભાઈ પટેલે ઉમેર્યું હતું કે, આ તમામ સેવાઓ માત્ર જરૂરિયાતમંદો માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે આશીર્વાદરૂપ છે. તેમણે ગીર સોમનાથની જાહેર જનતાને રાહત દરે અપાતી આ સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે રેડ ક્રોસ ગીર સોમનાથની સમગ્ર ટીમને ભવિષ્યમાં પણ સેવાના આ ભગીરથ કાર્યમાં યોગદાન આપતા રહેવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. નોંધનીય છે કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગીર સોમનાથ જિલ્લા શાખા 2015થી કાર્યરત છે. અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ તમામના સહિયારા સહયોગ અને દાતાઓના અનુદાનથી આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સમગ્ર જિલ્લામાં આરોગ્યની રાહત દરે સેવાઓ આપવા માટે સંસ્થા કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:06 pm

સુરેન્દ્રનગરમાં મતદાન મથકોની 200 મીટર ત્રિજ્યામાં પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ આગામી તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર છે. આ સંદર્ભે, જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ મતદાનના દિવસે અનધિકૃત કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, મતદાન મથકની અંદર તેમજ મતદાન મથકથી 200 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ વ્યક્તિ મત માટે પ્રચાર કરી શકશે નહીં. મતદારોને ધાક-ધમકી આપવી, કોઈ ઉમેદવારને મત આપવા કે ન આપવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરવી, કે ચૂંટણી સંબંધિત કોઈ નોટિસ કે નિશાની (સરકારી નોટિસ સિવાય) પ્રદર્શિત કરવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વધુમાં, મતદાન મથકની મર્યાદામાં સેલ્યુલર ફોન, વાયરલેસ સેટ જેવા ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે. વાહનો સાથે મતદાન મથક વિસ્તારમાં આવવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. મતદાન મથકમાં માત્ર મતદાર, ઉમેદવાર અને ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલા કર્મચારીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:04 pm

આજે બે સેશનમાં PSIની પરીક્ષા:કેન્દ્ર ભૂલી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોલીસ સારથિ બની, 20,700 ઉમેદવારની પરીક્ષા

સુરત જિલ્લામાં આજે તારીખ 19 એપ્રિલ 2026ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની ભરતી માટેની મહત્વપૂર્ણ પરીક્ષા ચુસ્ત સુરક્ષા રીતે યોજાય રહી છે. ગુજરાત પોલીસ દળમાં જોડાવા માટે ઉત્સુક એવા અંદાજે 20,700 જેટલા ઉમેદવારો શહેરના વિવિધ કેન્દ્રો પર પોતાની મહેનતનું પરિણામ મેળવવા પરીક્ષા આપી રહ્યા છે. 69 પરીક્ષા કેન્દ્ર પર 690 બ્લોકસમગ્ર શહેરમાં 69 જેટલી નામાંકિત અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓની પસંદગી પરીક્ષા કેન્દ્રો તરીકે કરવામાં આવી છે, જ્યાં શિક્ષણ અને શિસ્તનું વાતાવરણ જળવાઈ રહે તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે.આ વખતે બેઠક વ્યવસ્થામાં કુલ 69 કેન્દ્ર પર 690 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે અને દરેક બ્લોકમાં માત્ર 30 ઉમેદવારોને જ બેસવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે પરીક્ષામાં પારદર્શિતા અને શાંતિ જળવાઈ રહે. બે સેશનમાં પરીક્ષાનું આયોજનવહીવટી સરળતા ખાતર સમગ્ર સુરત જિલ્લાને બે મુખ્ય ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઝોન 1 તરીકે ગુરુકુલ કુમાર વિદ્યાલય અને ઝોન ૨ તરીકે કતારગામ સ્થિત ગુરુકુલ કુમાર કાસાનગર વિદ્યાલયને કાર્યરત કરવામાં આવ્યા છે. આ બંને કેન્દ્રો સમગ્ર પરીક્ષા પ્રક્રિયાના સંચાલન માટેના મુખ્ય મથક તરીકે કાર્ય કરી રહ્યા છે, જ્યાંથી તમામ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.પરીક્ષાના સમયપત્રકની વાત કરીએ તો, ઉમેદવારોની કસોટી બે સત્રોમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સત્ર સવારે 09:30 થી 12:30 વાગ્યા સુધી અને બીજા સત્રની પરીક્ષા બપોરે 03:00થી સાંજે 06:00 દરમિયાન લેવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાની સુરક્ષા હેઠળપોલીસ દ્વારા 31 જેટલા અત્યંત સુરક્ષિત રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ દરેક રૂટ પર જવાબદાર અધિકારીઓની સીધી નિગરાની હેઠળ પ્રશ્નપત્રોને કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા છે. સવારના સત્ર બાદ બપોરના સત્ર માટે પણ નવેસરથી આ જ સુરક્ષા વ્યવસ્થા હેઠળ પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવશે જેથી ગેરરીતિની કોઈ પણ નાની તક પણ ન રહે.આજના આ આયોજનમાં ટેકનોલોજીનો ઉપયોગ એક રક્ષણાત્મક કવચ તરીકે કરવામાં આવ્યો છે. સુરત શહેરના તમામ 69 પરીક્ષા કેન્દ્રોને અત્યાધુનિક CCTV કેમેરાની સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ કેમેરાનું લાઈવ રેકોર્ડિંગ સીધું કંટ્રોલ રૂમમાં નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ પણ અણધારી કે શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક એક્શન લઈ શકાય. 'પેપર લીક ન થાય તેવી આશા'પીએસઆઇની પરીક્ષા આપવા આવનાર ઉમેદવાર રાઠોડ સુખદેવે જણાવ્યું હતું કે અહીંયા ગુજરાત પોલીસ PSI કેડરની ભરતીની એક્ઝામ છે, એના માટે સુરત ખાતે આવ્યા છીએ. તૈયારી તો બે-ત્રણ વર્ષથી કરીએ છીએ. પણ હવે સરકાર પાસે એવી આશા છે કે પેપર લીક ના થાય અને પેપર ફૂટે નહીં બસ એવી આશા છે, શાંતિથી પરીક્ષા લેવાય. પોલીસે ઉમેદવારને મદદ કરીપરીક્ષા દરમિયાન સુરત પોલીસનો એક સંવેદનશીલ અને માનવીય ચહેરો પણ સામે આવ્યો છે. સવારના સમયે કૈતુક કુમાર ગામિત નામનો એક ઉમેદવાર શરતચૂકથી પોતાના નિર્ધારિત કેન્દ્ર 'પ્રમુખ માધ્યમિક શાળા, સીંગણપુર' ને બદલે 'પીએમ ભગત માધ્યમિક શાળા, ચોક બજાર' ખાતે પહોંચી ગયો હતો. સવારે 08:20 વાગ્યાનો સમય હતો અને તેના સાચા કેન્દ્ર પર પહોંચવા માટે સમય ખૂબ જ ઓછો હતો. આવી કપરી પરિસ્થિતિમાં ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ ત્વરિત નિર્ણય લઈ, કૈતુક કુમારને તાત્કાલિક સરકારી વાહનમાં બેસાડી તેના સાચા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો. ત્યારે બીજો એક ઉમેદવાર પણ પોતાના મિત્રની બેગમાં કોલ લેટર ભૂલી ગયો હતો અને તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો સમય થોડો જ બાકી હતો ત્યારે પોલીસે બાઈક લઈને વિદ્યાર્થીને તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો હતો. પોલીસની આ ત્વરિત મદદને કારણે એક મહેનતુ વિદ્યાર્થીનું ભવિષ્ય બચી ગયું અને તે સમયસર પરીક્ષા આપી શક્યો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો જાળવવા માટે જ નહીં, પણ મુસીબતમાં મુકાયેલા નાગરિકોની મદદ માટે પણ હંમેશા તત્પર રહે છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:59 pm

200 થી વધુ શ્રમજીવીઓને ભોજન અપાય છે.:ભાવનગરમાં ''બચપન ચેરીટેબલ ટ્રસ્ટ'' ની દૈનિક અન્ન વિતરણ સેવા

ભાવનગરમાં “બચપન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા દૈનિક અન્ન વિતરણ સેવા ચલાવવામાં આવે છે. આ સેવા અંતર્ગત, 18 એપ્રિલ 2026 ના રોજ યુવા પત્રકાર પાર્થભાઈ રમેશભાઈ મહેતાએ તેમના જન્મદિવસ નિમિત્તે ભાવનગરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ભોજન વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજિત 200 થી વધુ શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજનમાં રસ, પૂરી અને શાકનો સમાવેશ થતો હતો. પાર્થ મહેતાએ તેમના જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદોને ભોજન કરાવીને કરી હતી. “બચપન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આ સેવાભાવી કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:58 pm

સાડા ત્રણ વર્ષની બાળકીને સાપે ડંખ મારતા મોત:એકની એક દીકરી ગુમાવતા માતાનો આક્રંદ, જહાંગીરપુરા બ્રિજ નીચે મોડીરાત્રે ઊંઘતી હતીને સાપે ડંખ માર્યો

આર્થિક રીતે નબળા અને ફૂટપાથ કે બ્રિજ નીચે આશરો લઈને રહેતા શ્રમિક પરિવારો માટે કુદરત પણ ક્યારેક કેટલી ક્રૂર બની શકે છે, તેનો જીવંત અને હૃદયદ્રાવક દાખલો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં જહાંગીરપુરા બ્રિજ નીચે રહેતા એક શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાત્રિના સમયે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે એક ઝેરી સાપે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીને દંશ મારતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બ્રિજ નીચે સૂતેલી બાળકીને સાપે ડંખ માર્યોમળતી માહિતી મુજબ, જહાંગીરપુરા બ્રિજ નીચે રહેતી મેઘનાબેન ઠાકોર નામની મહિલા તેની સાડા ત્રણ વર્ષની દીકરી મહેક અને તેની નાની સાથે રહેતી હતી. શનિવારની મધ્યરાત્રિએ અંદાજે 1:00 વાગ્યાના સુમારે આ કરુણ ઘટના બની હતી. મહેક તેની માતા અને નાની પાસે શાંતિથી નિદ્રા માણી રહી હતી. ગરમી અને ખુલ્લા વાતાવરણને કારણે બ્રિજ નીચે પથરાયેલા પલંગ કે ગોદડા પર સૂતેલી આ માસૂમ બાળકી પર અચાનક એક ઝેરી ડંખ માર્યો હતો. મોડી રાત્રે બચાવો-બચાવોની બૂમો પડીસાપે બાળકીના શરીરે ડંખ મારતા જ મહેક પીડાથી ચીસ પાડી ઉઠી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળીને માતા મેઘનાબેન અને નાની તુરંત જ જાગી ગયા હતા. આસપાસ તપાસ કરતા ત્યાં સાપ હોવાનું જણાતા પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી. અડધી રાત્રે બ્રિજ નીચે બચાવો-બચાવોની બૂમો પડતા આસપાસના અન્ય શ્રમિકો પણ દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખસેડાઈ પરંતુ તબીબે મૃત જાહેર કરીબાળકીને સાપ કરડ્યો હોવાનું માલૂમ પડતા જ પરિવાર તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના મોતના સમાચાર સાંભળતા જ માતા મેઘનાબેન હોસ્પિટલના પટાંગણમાં જ ભાંગી પડ્યા હતા. આ ઘટના પાછળની કરુણતા એ છે કે મૃતક મહેક તેની માતા મેઘનાબેનનું એકમાત્ર સંતાન હતી. મેઘનાબેનના પતિ તેમનાથી અલગ રહેતા હોવાથી, મેઘનાબેન મજૂરી કામ કરીને પોતાની દીકરીનું લાલનપાલન કરતા હતા. તેમની દુનિયા માત્ર આ સાડા ત્રણ વર્ષની દીકરીની આસપાસ જ ફરતી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:51 pm

APK ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન:સિવિલ હોસ્પિટલના નર્સે RTO ચલણના નામની APK ફાઇલ ડાઉનલોડ કરતા 7 લાખ ઉપડી ગયા

અમદાવાદના સિવિલ હોસ્પિટલના નર્સ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. નર્સને અજાણ્યા નંબર પરથી RTO ચલણની APK ફાઇલ આવી હતી. આ APK ફાઇલ ડાઉનલોડ કર્યાં બાદ નર્સના ખાતામાંથી 7 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. નર્સે સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. APK ફાઇલ ડાઉનલોડ કરીને 7 લાખ ઉપડી ગયાનવા નરોડામાં રહેતા 55 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. નર્સને 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં RTO ચલણની APK ફાઇલ હતી. RTO ચલણ હોવાથી નર્સે ફાઈલ ડાઉનલોડ કરી હતી. આ ફાઇલ ડાઉનલોડ કર્યાં થોડા દિવસમાં જ નર્સના બેંકના ખાતામાંથી 5 અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 7 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. નર્સને જ્યારે બેન્કનો મેસેજ આવ્યો ત્યારે તેમને તપાસ કરી હતી. નર્સ બેંકમાં ગયા ત્યારે તેમને જાણ થઈ હતી કે અજાણ્યા વ્યક્તિએ તેમની જાણ બહાર તેમણે બેંક એકાઉન્ટમાંથી 7 લાખ ઉપાડી દીધા છે. નર્સે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:45 pm

ગતવર્ષની તુલનાએ સોનાના ભાવ બમણા:રાજકોટમાં અખાત્રીજનાં મુહૂર્તને સાચવવા માટે લોકો હોંશભેર ખરીદી કરતા જોવા મળ્યા, ગતવર્ષની તુલનાએ ઘરાકી ઓછી હોવાનો વેપારીઓનો મત

આજરોજ અખાત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે સોના અને ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે સોનાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજીત બમણો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ગ્રાહકોમાં ખરીદીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વધતા ભાવ વચ્ચે પણ લોકો તેના પરિવાર માટે સોનાના દાગીનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે વેપારીઓનાં મતે ભાવમાં વધારો થવાની અસર ઘરાકી ઉપર વિપરીત પડી છે, અને ગતવર્ષની તુલનાએ ઘરાકી ઓછી જોવા મળી રહી છે. આ તકે આગામી સમયમાં સોનાના ભાવોમાં હજુ વધારો થવાની શક્યતા વેપારીઓ અને ગ્રાહકોએ પણ વ્યક્ત કરી હતી. ડોલીબેન જગડ નામના ગ્રાહકે જણાવ્યું કે, સોના-ચાંદીની ખરીદી માટે અખાત્રીજના દિવસનું ખૂબ જ મહત્વ છે. ગત વર્ષ કરતા સોનાના ભાવ ઘણા વધારે છે, છતાં પણ અમે મુહૂર્ત સાચવવા માટે ખરીદી કરવા આવ્યા છીએ. અહીં દાગીનામાં ઘણી સારી વેરાયટીઓ જોવા મળી રહી છે. મેં મારા માટે મંગળસૂત્ર અને મારા સાસુ માટે માળાની ખરીદી કરી છે. સોનાના ભાવ વધવાને કારણે આર્થિક રીતે દરેક વર્ગને અસર પડી રહી છે, પરંતુ હાલ તહેવારના મહત્વને કારણે લોકો થોડી ઘણી પણ ખરીદી કરી રહ્યા છે. હાલ સોનાના ભાવ ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી, ઉલટાનું આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધે તેવું લાગી રહ્યું છે. અખા ત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે પોતાની દીકરી માટે સોનાનાં દાગીનાની ખરીદી કરવા આવેલા અન્ય ગ્રાહક કવિતાબેન ટાંકે જણાવ્યું છે કે, અખા ત્રીજના મુહૂર્તનું અનેરું મહત્વ હોવાથી લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. ભલે અત્યારે સોનાના ભાવ આસમાને હોય, પરંતુ શુકન સાચવવા માટે પણ લોકો થોડી ઘણી ખરીદી કરવાનું પસંદ કરે છે. અખા ત્રીજની સાથે આજરોજ પરશુરામ જયંતી પણ હોવાથી આ દિવસ ખૂબ જ શુભ છે. મેરેજ ફંક્શન કે અન્ય કોઈ પ્રસંગો માટે ગિફ્ટ આપવા માટે પણ લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે. હું પણ મારી દીકરી માટે શુકનની ખરીદી કરવા આવી છું. ઘણા લોકો ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દાગીનાની ખરીદી કરીને તેને સાચવી રાખતા હોય છે, જેથી પ્રસંગ સમયે તેનો ઉપયોગ કરી શકાય છે. રાધિકા જ્વેલર્સના મનોજભાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોનાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદશક્તિ પર પડી છે. આ ઉપરાંત, રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ જેવા આંતરરાષ્ટ્રીય યુદ્ધના માહોલને કારણે લોકોમાં એક પ્રકારનો ગભરાટ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે, જે પણ બજારમાં મંદીનું એક મુખ્ય કારણ છે. જોકે, અક્ષય તૃતીયા અને પુષ્ય નક્ષત્ર જેવા દિવસો સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મનોજભાઈએ આશા વ્યક્ત કરી હતી કે, ભલે મોટી ખરીદી ન થાય, પણ લોકો શુકન સાચવવા માટે નાની-મોટી ખરીદી ચોક્કસ કરશે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિ જોતા ભાવ ઘટે તેવા કોઈ એંધાણ નથી. જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ થાળે પડે અને શાંતિ સ્થપાય, તો જ કદાચ ભાવમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, બાકી હાલના તબક્કે ભાવ વધારો યથાવત રહે તેવી પૂરી શક્યતા છે. આજના પાવન પર્વે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ગત વર્ષની સરખામણીએ ઘરાકીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:39 pm

ચાંદખેડા વોર્ડમાં વિરોધના કારણે સ્ટાર પ્રચારકે મિટિંગ સ્થળ બદલવું પડ્યું:જીજ્ઞેશ મેવાણી પ્રચારમાં આવતા સુબોધ કુમુદ સિવાયના એક પણ ઉમેદવાર ન ફરક્યાં, કાર્યકર્તાઓએ જ વિરોધ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ વધુ વકર્યો છે. વડગામના ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીને ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે જગ્યા બદલવી પડી હતી. ગઈકાલે 18 એપ્રિલે જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે આવવાના હતા. જે માટે સાંજે 6.30 વાગ્યે આઈ.ઓ.સી.રોડ પર આવેલા સ્નેહપ્લાઝામાં કરિશ્મા એવેન્યુમાં મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓના વિરોધના કારણે 6.40એ જગ્યા બદલી હેમાંગી ફલેટના કોમનપ્લોટમાં રાખવામાં આવી હતી. તેમજ પ્રચારમાં માત્ર સુબોધ કુમુદ જ જોવા મળ્યા હતા. પેનલના અન્ય ઉમેદવારો પણ પ્રચારમાં હાજર રહ્યા નહતા. જેથી સ્ટાર પ્રચારકે માત્ર એક ઉમેદવાર સુબોધ કુમુદ અને અન્ય કાર્યકર્તાઓને સાથે રાખીને પ્રચાર કરવો પડ્યો હતો. મેવાણીએ સુબોધ કુમુદને ટિકિટ અપાવી છેધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેમના નજીક વ્યક્તિ સુબોધ કુમુદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડમાં ટિકિટ અપાવી છે. સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન મળવાથી આ વોર્ડના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ વિસ્તારમાં પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટર પણ લગાવ્યા હતા. જે બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકમાં જીગ્નેશ મેવાણીને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારમાં આવતા મેવાણીનો કાર્યકર્તાઓએ જ વિરોધ કર્યોજેથી જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે આવ્યા હતા. વોર્ડના તમામ હોદ્દેદારો, વિવિધ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો થતા કાર્યકરોની અગત્યની મિટિંગ માટેનું સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીએ આયોજન કર્યું હતું. જો કે અગાઉથી નક્કી કરેલા સ્થાન પર મિટિંગ પણ કરવા દેવામાં આવી નહતી. માત્ર એટલું જ નહીં જે જગ્યાએ મિટિંગ કરવાની હતી ત્યાં તાળું મારી દેવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:36 pm

ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:કુડાસણમાં 12 જુગારી ઝડપાયા, 58 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં મોડી રાત્રે ખેતરમાં ચાલતા જુગારધામ પર ઈન્ફોસિટી પોલીસ ત્રાટકી હતી. જ્યાંથી 12 જુગારીને રોકડ તેમજ મોબાઇલ સહિત 58 હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસના દરોડાઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ.શાહની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુડાસણ ગામની સીમમાં કૌશિક પટેલના બોરવેલ સામે આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો આર્થિક ફાયદા માટે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં કેટલાક જુગારીઓ અંધારાનો લાભ ઉઠાવી પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે 12 શખસોને પોલીસે કોર્ડન કરી ઝડપી લીધા હતા. 12 શખસો જુગાર રમતા ઝડપાયાજેમાં કુડાસણ ગામનો વનરાજ ઠાકોર (માલાપુરા વાસ), અંબાલાલ ઠાકોર (આંબલીવાળો વાસ), રણજીત ઠાકોર (આંબલીવાળો વાસ) ગણપતજી ઠાકોર (ખારાવાળો વાસ),ચમનજી ઠાકોર (બાજુટોળીવાસ),સનાજી ઠાકોર (બાજુટોળીવાસ),મહેશજી ઠાકોર (ટેકરાવાળો વાસ),રાજુજી ઠાકોર (ટેકરાવાળો વાસ), દશરથ પટેલ (આંબલીવાળો વાસ), તેજાજી ઠાકોર (આંબલીવાળો વાસ),મકાજી ઠાકોર (આંબલીવાળો વાસ) અને ચમનજી ઠાકોર (માલાપુરા વાસ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતીમાંથી રૂ.23,830 અને જુગારના દાવ પરથી રૂ.11,450 મળી કુલ રૂ 35,280ની રોકડ ઉપરાંત 23,000ની કિંમતના 6 નંગ મોબાઈલ ફોન અને ગંજીપાના મળીને કુલ રૂ 58 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:14 pm

5 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી:અમદાવાદ, ગાંધીનગર સહિત 5 શહેરમાં તાપમાન 41 °Cને પાર, 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આકરા તાપ વચ્ચે આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 18 એપ્રિલે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ સિવાય અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર અને ડીસામાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.આજે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહીઆગમી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે માછીમારો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે. 'હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય'હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે-સાથે, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમહવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં સુરતને બાદ કરતા અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 5 શહેરમાં ગરમીનો પારો 41Cને પાર પહોંચી ગયો છે. 18 એપ્રિલે 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 41.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. જો કે આજથી 21 એપ્રિલ કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોના મહતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢમાં રાજનાંદગામમાં તાપમાન 45Cદેશના ઉત્તર-પશ્ચિમના રાજ્યો અને મધ્ય ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. શનિવારે છત્તીસગઢના રાજનાંદગામ અને મહારાષ્ટ્રના વર્ધામાં તાપમાન 45C નોંધાયું હતુ. શનિવારે દેશના 10 સૌથી ગરમ શહેરમાં ઉત્તરપ્રદેશના બાંદામાં 44.6, તેલંગણાના આદિલાબાદમાં 44.3, મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતીમાં 44.2 અને મધ્યપ્રદેશના રતલામમાં 44Cનો સમાવેશ થાય છે.રાજસ્થાન, યૂપી, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગણા અને છત્તીસગઢના અનેક શહેરમાં તાપમાન 43Cથી વધારે રહ્યું. એટલે કે મે પહેલા જ મહતમ તાપમાનમાં જબરજસ્ત વધારો થયો છે.હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડમાં રાત્રિના સમયે લૂનું એલર્ટ જાહેર કર્યું છે. સતત ત્રીજા દિવસે આ રાજ્યોમાં ગરમીનો પારો 40Cથી વધારો નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:49 am

ઇડરમાં દીકરીના જન્મદિને TB દર્દીઓને પોષણ કીટ વિતરણ:રક્તપિતના દર્દીઓને ભોજન આપી અનોખી માનવસેવાની પહેલ

ઇડરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ના કાઉન્સેલર દીપકભાઈ અને ઇડર અર્બન સેન્ટરના સ્ત્રી આરોગ્ય કાર્યકર મીનાક્ષીબેન દંપતીએ પોતાની દીકરી સીઝાનો ચોથો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે ગઈકાલે સાંજે TB દર્દીઓને પોષણ કીટ અને રક્તપિતના દર્દીઓને ભોજન આપીને સમાજમાં પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સીઝાના જન્મદિવસ નિમિત્તે, અર્બન હેલ્થ સેન્ટર, ઇડર વિસ્તારમાં 25 TB દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રક્તપિતના દર્દીઓને પ્રેમપૂર્વક ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે દર્દીઓમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો. દીપકભાઈ અને મીનાક્ષીબેનની આ પહેલ માત્ર સેવા પૂરતી સીમિત નથી, પરંતુ અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશા અને સંવેદનાનો સંદેશ પહોંચાડે છે. તેમણે પોતાની પુત્રીના જીવનના આ ખાસ દિવસે તેને દયા, કરુણા અને સમાજ પ્રત્યેની જવાબદારીના મૂલ્યોનો સંસ્કાર આપવાનો પ્રયાસ કર્યો છે. આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે. દીપકભાઈ અને તેમની દીકરી સીઝાની આ અનોખી પહેલને લઈને લોકોમાં પ્રશંસા જોવા મળી રહી છે. તેમની આ સેવાયાત્રા ભવિષ્યમાં પણ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:36 am

સુરતમાં આમ આદમી પાર્ટીનો 'ગોલ્ડન ઉમેદવાર':60 તોલા સોનું અને બાઉન્સરોના કાફલા સાથે હાઈવોલ્ટેજ પ્રચાર; કહ્યું, ભાજપના 'ખરીદ-વેચાણ'ના ડરથી બોડીગાર્ડ રાખ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમગ્ર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણીમાં અનેક ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક ખાસ ઉમેદવારે આખા સુરતનું ધ્યાન ખેંચ્યું છે. વોર્ડ નં. 1માંથી ચૂંટણી લડી રહેલા કલ્પેશ બારોટ હાલ 'ગોલ્ડન મેન' તરીકે પ્રખ્યાત થયા છે. તેઓ જ્યારે પ્રચારમાં નીકળે છે ત્યારે 60 તોલા સોનું અને તેમની સાથે ચાલતા બાઉન્સરો સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી ચર્ચાનો વિષય બન્યા છે. આમ આદમી પાર્ટીના આ 'ગોલ્ડન ઉમેદવાર'ની જીવનશૈલી અને તેમનો અંદાજ અન્ય તમામ ઉમેદવારો કરતા તદ્દન અલગ તરી આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર 60 તોલા સોનું પહેરીને પ્રચાર કરે છેકલ્પેશ બારોટ જ્યારે વોર્ડ નં. 1ની ગલીઓમાં જનસંપર્ક માટે નીકળે છે, ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હોય છે. આંગળીઓમાં સોનાની વીંટીઓ, હાથમાં ભારેખમ સોનાના બ્રેસલેટ અને ગળામાં જાડી સોનાની ચેન પહેરીને તેઓ મતદારો પાસે જાય છે. તેમની આ અનોખી સ્ટાઈલ જોઈને લોકો સ્તબ્ધ થઈ જાય છે. પ્રચાર દરમિયાન તેઓ 60થી 65 તોલા સોનું પહેરે છે, જેની બજાર કિંમત લાખોમાં થાય છે. આટલું સોનું પહેરીને સામાન્ય રીતે કોઈ બહાર નીકળતા ડરતું હોય છે, પરંતુ કલ્પેશભાઈ આત્મવિશ્વાસ સાથે મતદારો વચ્ચે ફરે છે. કહ્યું, ભાજપના 'ખરીદ-વેચાણ'ના ડરથી બોડીગાર્ડ રાખ્યાસૌથી ચોંકાવનારી વાત એ છે કે કલ્પેશ બારોટ ગુજરાતના કદાચ એવા પ્રથમ ઉમેદવાર હશે જેઓ પોતાના પ્રચારમાં ખાનગી બાઉન્સરો સાથે રાખે છે. તેમની સાથે કાયમ બે બાઉન્સરો રહે છે. આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આ બાઉન્સરો તેમના પારિવારિક મિત્રો જેવા છે. જોકે, તેમણે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, વિરોધ પક્ષના ઉમેદવારોની જે રીતે ખરીદ-વેચાણની રાજનીતિ ચાલી રહી છે, તેનાથી બચવા અને પોતાની સુરક્ષા માટે તેઓ આ વ્યવસ્થા રાખે છે. એફિડેવિટમાં 90 લાખના ગોલ્ડનો ખુલાસોચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં કલ્પેશ બારોટે પોતાની મિલકતોનો વિગતવાર ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, તેમની પાસે અંદાજે 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું છે. તેમની પાસે રહેલી સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો પણ એફિડેવિટમાં દર્શાવવામાં આવી છે. કલ્પેશભાઈનું કહેવું છે કે, તેમણે કંઈ પણ છુપાવ્યું નથી અને જે છે તે જનતાની સામે પારદર્શક રીતે રજૂ કર્યું છે. મોટી માત્રામાં સોનું પહેરીને પ્રચાર કરતાં જનતામાં કુતૂહલસોનાના શોખને કારણે જ આજે તેઓ સુરતની જનતામાં 'ગોલ્ડન ઉમેદવાર' તરીકે ઓળખાઈ રહ્યા છે. કલ્પેશ બારોટ માટે સોનું પહેરવું એ માત્ર ચૂંટણીનો દેખાડો નથી. તેઓ વર્ષોથી સોનું પહેરવાના શોખીન છે. તેમના મતે, આ તેમની એક વર્ષો જૂની ઓળખ છે. લોકો તેમને સોનામાં લદાયેલા જોઈને નવાઈ પામતા હોય છે, પરંતુ તેના વિસ્તારના લોકો માટે આ નવું નથી. જોકે, ચૂંટણીના મેદાનમાં જ્યારે આટલી મોટી માત્રામાં સોનું પહેરીને ઉમેદવાર ઉતરે ત્યારે વિરોધ પક્ષો અને સામાન્ય જનતામાં કુતૂહલ જાગવું સ્વાભાવિક છે. તેઓ માને છે કે તેમનું સોનું એ તેમની મહેનતની કમાણી છે. 'મતદારોના આશીર્વાદ અને મિત્રો મારી સાથે છે, ત્યાં સુધી કોઈ જોખમ નથી'જ્યારે કલ્પેશભાઈને પૂછવામાં આવ્યું કે આટલું સોનું પહેરીને નીકળવામાં જોખમ નથી લાગતું?. ત્યારે તેમણે સણસણતો જવાબ આપ્યો હતો. વધુમાં તેમણે એક મેસેજ આપતા કહ્યું કે, વર્તમાન સમયમાં જનતાએ સરકાર પર ભરોસો રાખવા કરતા પોતાની સુરક્ષા પોતે જ કરવી જોઈએ. તેમનો આ મેસેજ સુરતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ આંગળી ચીંધે છે. 'ગોલ્ડન ઉમેદવાર'ને જોતા જ લોકો સેલ્ફી લે છેવોર્ડ નં. 1ના રહીશો માટે કલ્પેશ બારોટનો પ્રચાર એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઘણા લોકો તેમને જોવા માટે ઘરની બહાર નીકળે છે તો ઘણા તેમની સાથે સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ આદમી પાર્ટી માટે આ એક 'ક્રાઉડ પુલર' વ્યૂહરચના સાબિત થઈ રહી હોય તેવું લાગે છે. સામાન્ય રીતે સાદગીની રાજનીતિ કરતી પાર્ટીમાં આટલા ભપકાદાર ઉમેદવાર હોવા છતાં, કલ્પેશભાઈ દાવો કરે છે કે તેઓ જમીની સ્તરના કાર્યકર છે અને લોકોની સમસ્યાઓ સમજે છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:33 am

અમદાવાદથી સાયબર ક્રાઈમનો ફરાર આરોપી ઝડપાયો.:શીલ પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમમાં 4 મહિનાથી નાસતો ફરાર કેવિન દેકીવાડીયા અમદાવાદથી ઝડપાયો; 25 પાસબુક, 43 ATM કાર્ડ અને 23 સીમકાર્ડ જપ્ત.

​જૂનાગઢ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સાયબર ક્રાઈમના એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે. શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસને હંફાવી રહેલા આરોપી કેવિન રમેશભાઈ દેકીવાડીયાને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત SOGની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ​ SOGની ટીમે દરોડો પાડીને અટકાયત કરી, આરોપી કેવિન દેકીવાડીયા, જે મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી છે, તે અમદાવાદના મેમનગર સ્થિત નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને છુપાયો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તે અહીંથી પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો છે તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. તેની પાસેથી અલગ-અલગ બેંકોની 25 પાસબુકો, 43 જેટલા ATM કાર્ડ્સ, 23 સીમકાર્ડ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આરોપી મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે​પકડાયેલ આરોપી વિરુદ્ધ BNS Act ની કલમ 317(2), 317(4) અને IT Act ની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધાયેલો હતો. તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલની કિંમત અંદાજે 42,000 રૂપિયા આંકવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં પાસબુક અને ATM કાર્ડ મળી આવતા પોલીસને આશંકા છે કે આ એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં આ તમામ મુદ્દામાલ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી જાણવાજોગ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ​આ સફળ કામગીરીમાં SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ, એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા તેમજ પો.કોન્સ. કૃણાલસિંહ પરમાર અને મયુરભાઈ ઓડેદરા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલા બધા બેંક એકાઉન્ટ્સ અને સીમકાર્ડનો ઉપયોગ કોના નામે અને કઈ રીતે કરતો હતો. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:32 am

સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું, 22 ડબ્બા જપ્ત:SOG અને ફૂડ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું

સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અમુલ પ્યોર ઘીના માર્કવાળા શંકાસ્પદ 22 ડબ્બા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન મહેતા માર્કેટમાં આવેલી આદિનાથ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ હાલતમાં 6 ડબ્બા મળી આવ્યા હતા. જ્યારે શહેરના ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીમાંથી તપાસ કરતા 16 ડબ્બા મળી આવ્યા હતા. SOG ટીમે કુલ 22 ડબ્બા મુદ્દામાલ તરીકે કબજે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુરેન્દ્રનગરની ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીનો જ એક વ્યક્તિ અમદાવાદથી આ ઘીના ડબ્બા લાવીને મહેતા માર્કેટના વેપારીઓને સપ્લાય કરતો હતો. આ નેટવર્ક કેટલું મોટું છે તે અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં SOG પીઆઈ ભાવેશ શિંગરખીયા અને તેમની ટીમ તેમજ ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એ.જે. પ્રજાપતિની ટીમે કામગીરી કરી હતી. ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી. સાવલીયાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે 11 વાગ્યે SOG અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પરથી 15 કિલોના ટીન ડબ્બામાંથી 3 નમૂના લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:17 am

ધારાસભ્ય સામે આયુષ્યમાન કાર્ડ મુદ્દે લોકોનો રોષ:નસવાડીના લિન્ડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન તું તું મેં મેં

નસવાડીના લિન્ડા ગામમાં ગત રાત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી અને સ્થાનિક લોકો વચ્ચે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ ન મળવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધારાસભ્ય તડવી ગ્રામજનો પાસેથી મત માંગવા અને મોદી સરકારની યોજનાઓ ગણાવવા ગયા હતા. તેમણે આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉલ્લેખ કરતા જ કેટલાક સ્થાનિકોએ તેમને કાર્ડ ન મળતું હોવાની ફરિયાદ કરી હતી. આના પર ધારાસભ્ય ગુસ્સે થયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય અભેસિંહ તડવી ગુસ્સામાં એક સ્થાનિક વ્યક્તિને 'પછી વાત કરજો' અને 'બેસી જા' કહીને બેસાડી દેતા જોવા મળે છે. આ ઘટનાને દાદાગીરી તરીકે જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નસવાડીના અંતરિયાળ વિસ્તારોમાં સરકારની આયુષ્યમાન કાર્ડ જેવી મહત્વપૂર્ણ યોજનાઓના લાભ ન મળવાને કારણે સ્થાનિક લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:08 am

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે વોર્ડ 12, 13માં કાર્યાલય ખોલ્યા:મહાનગરપાલિકા ચૂંટણી પ્રચારનો પ્રારંભ, આગેવાનો ઉપસ્થિત રહ્યા

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. શહેર કોંગ્રેસે પ્રચાર માટે વઢવાણ વિસ્તારના વોર્ડ નંબર 12 અને 13માં બે નવા કાર્યાલય ખોલ્યા છે. આ કાર્યાલયોનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. વાઘેશ્વરી મંદિરના પૂજારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સતવારા સમાજના આગેવાન ભાવેશભાઈ, બ્રાહ્મણ સમાજના આગેવાનો, માલધારી સમાજના આગેવાનો સહિત તમામ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં પૂર્વ સભ્ય અરવિંદભાઈ આચાર્યના દીકરી રુદ્રાબેન, અશોકભાઈ જાની, કાંતિભાઈ ટમાલિયા, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, વોર્ડ નંબર 13ના ઉમેદવાર, ઝરણાબેન જાની, યાસ્મિનબેન વડદરિયા, વિશ્વાસભાઈ સોમપુરા અને એડવોકેટ-નોટરી સુલેમાનભાઈ કુરેશી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને અન્ય નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આતશબાજી સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:08 am

વજાબાપાની પુણ્યતિથિએ 5 લાખ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ લીધો:જીગ્નેશ દાદાની કથા નિમિત્તે કોઠારીયામાં ભવ્ય આયોજન

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામ ખાતે વજાબાપાની 11 મી પુણ્યતિથિ નિમિત્તે જીગ્નેશ દાદાની ભાગવત કથાનું આયોજન કરાયું હતું. આ કથામાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ મહાપ્રસાદ માટે 200 x 100 ફૂટનું વિશાળ રસોડું તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રસાદ બનાવવા માટે 300 રસોયા અને 1000 થી વધુ સ્વયંસેવકોએ દિવસ-રાત સેવા આપી હતી. આ ભવ્ય આયોજન માટે 35 થી વધુ ટ્રેક્ટર સામગ્રી લાવવા માટે ઉપયોગમાં લેવાયા હતા. જેમાં 400 ડબ્બા શુદ્ધ ઘી, 800 ડબ્બા કપાસિયા તેલ, 300 ડબ્બા સીંગતેલ, 25,000 કિલો ચોખા, 12,000 કિલો તુવેર દાળ અને 15,00 કિલો ખાંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 34,000 કિલો લાકડા, 8,000 કિલો બેસન, 22,000 કિલો ઘઉંનો લોટ, 20,000 કિલો રસ અને 15,000 કિલો શ્રીખંડનો ઉપયોગ થયો હતો. દરરોજ 5,000 લીટરથી વધુ દૂધની ચા અને 30,000 લીટર છાશ પણ શ્રદ્ધાળુઓને પીરસવામાં આવતી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:05 am

માળીયા-હળવદ હાઇવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો:6,672 બોટલ સાથે 40.16 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ

હળવદ-માળીયા હાઇવે પરથી પોલીસે દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. ભૂસાની થેલીઓની આડમાં છુપાવેલો 6,672 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 40.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માળીયા તાલુકા પોલીસની ટીમે હળવદ-માળીયા હાઇવે પર નવકાર કારખાનાની કટ પાસેથી RJ 36 GA 9858 નંબરના ટ્રકને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ભૂસાની થેલીઓ પાછળ છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 21,07,200 રૂપિયાની કિંમતની 6,672 નાની-મોટી દારૂની બોટલો, મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટ્રક સહિત કુલ 40,16,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે ટ્રક ડ્રાઇવર દરિયાવસિંહ લખાસિંહ રાવત (ઉં.વ. 46, રહે. બીલીયા વાસ, તા. બાર શેખાવાસ, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઇવર, દારૂ મોકલાવનાર જયપુરના રાહુલ, ટ્રક માલિક અને દારૂ મંગાવનાર સામે ગુનો નોંધીને અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી અને ટંકારામાં પણ પોલીસે દારૂ અંગેની બે અલગ-અલગ રેડ કરી હતી, જેમાં કુલ 52 બોટલ દારૂ ઝડપાયો હતો. મોરબીના જેલ રોડ પર આવેલા વણકર વાસમાં પોલીસે દરોડો પાડી 875 રૂપિયાની કિંમતની દારૂની સાત નાની બોટલો સાથે પ્રવીણ પરમાર (ઉં.વ. 44, રહે. મોરબી)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂ કિરીટભાઈ (રહે. મોરબી) પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું, જેથી બંને સામે ગુનો નોંધી કાર્યવાહી ચાલી રહી છે. બીજી એક કાર્યવાહીમાં, ટંકારાના ખાખરા ગામે નદીના કાંઠે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી. પોલીસે ત્યાંથી 6,750 રૂપિયાની કિંમતની દારૂની 45 નાની બોટલો જપ્ત કરી સુનિલભાઈ લાખાભાઈ પરેશા (ઉં.વ. 30, રહે. ખાખરા ગામ)ની ધરપકડ કરી હતી. તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 10:57 am

પોરબંદરમાં IPL સટ્ટાકાંડ:RCB-DC મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો, અન્ય એક ફરાર

પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક ફરાર છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમી મુજબ, કનકાઈ માતાના મંદિર પાસે, જાદવ પાન વાળી ગલીમાં એક શખ્સ મોબાઈલ ફોન દ્વારા RCB અને દિલ્હી કેપિટલ (DC) વચ્ચેની લાઈવ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. આ બાતમીના આધારે SOG ટીમે દરોડો પાડી અનિલ હિરાલાલ મઢવી (ઉં.વ. ૪૪, રહે. કનકાઈ માતાના મંદિર પાસે, જાદવ પાન વાળી ગલી, પોરબંદર) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો 'રીયલમી' કંપનીનો ૧૨ પ્રો+ મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન આ સટ્ટાકાંડમાં જેઠાભાઈ મોઢવાડિયા નામના અન્ય એક શખ્સનું નામ ખુલ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અનિલ મઢવી વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. જાડેજા તથા તેમની ટીમ જેમાં એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, રવિભાઈ ચૌ, દિપકભાઈ ડાકી, તથા પો.હેડ.કોન્સ. મોહિત ગોરાણીયા, ભરતસિંહ ગોહિલ, હરદાસભાઈ ગરચર, અર્જનભાઈ ઓડેદરા, ભીમાભાઈ ઓડેદરા, દિલીપભાઈ મોઢવાડિયા અને ચંદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 10:50 am

દહેગામના પાલુન્દ્રાની સીમમાંથી 4 સટોડિયા 1.19 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ:ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર આઈપીએલ સટ્ટાના રેકેટનો પર્દાફાશ

દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા એક મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દહેગામ પોલીસે પૂર્વ બાતમીના અત્રેના ખેતરમાં દરોડો પાડીને કુલ 4 શખ્સોને નવ મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.1.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાં કેટલાક લોકોને બોલાવી સટ્ટો રમાડતો દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈની ટીમ પાલુન્દ્રા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.ત્યારે બાતમી મળી હતી કે હાજીમીયા ઉસ્માનમીયા શેખ નામનો શખ્સ પાલુન્દ્રા ગામની સીમના સર્વે નંબર 279 વાળા પોતાના ખેતરમાં કેટલાક લોકોને બોલાવી સટ્ટો રમાડી રહ્યો છે. ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર જુગાર રમાડી રહ્યા હતાઆ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા ચાર શખ્સો ઝાડના છાયડે બેસીને મોબાઈલ દ્વારા ગ્રાહકો સાથે ટેલીફોનીક સોદા કરતા જોવા મળ્યા હતાં. જેમની તપાસ દરમિયાન ખૂલ્યું હતું કે, આ શખ્સો ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી ટી-20 મેચ પર હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યા હતા. આ 4 શખસની ધરપકડજેના પગલે પોલીસે સ્થળ પરથી પાલુન્દ્રા ગામના હાજીમીયા ઉસ્માનમીયા શેખ, ભરતભાઈ વિજુભાઈ બારોટ , મોહમદ ઈમરાનમીયા નિવાજખાન શેખ અને વસીમઅકરમ યાસીનમીયા બાવનની (રહે.હિંમતનગર) ની ધરપકડ કરી લીધી હતી. 1.19 લાખનો મુદ્દામાલ જપ્તઆ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 73 હજારની કિંમતના 9 મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 46,100ની રોકડ રકમ, સટ્ટાના આંકડા લખેલી 10 ચિઠ્ઠીઓ, બે ચોપડા, કેલ્ક્યુલેટર, પાવર બેંક અને અન્ય સાહિત્ય પણ મળી કુલ રૂ.1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 10:40 am

ઉના-ગીર ગઢડા પંથકમાં 'નાઈટ સફારી'નો રોમાંચ!:મધરાતે રસ્તા પર સિંહ પરિવારની શાહી લટાર, ઝુડવડલીમાં સિંહણે જલપાન કરી રસ્તો રોક્યો, વાહનચાલકોએ થંભાવ્યા વાહનો

ઉના અને ગીર ગઢડા પંથકમાં સિંહોની હાજરી હવે સામાન્ય વાત બની ગઈ છે. અહીં રાત પડતા જ સિંહપ્રેમીઓ અને સ્થાનિકો પોતાની રીતે સિંહનું લોકેશન શોધવા નીકળી પડતા હોય છે, જે ક્યારેક વન વિભાગના સર્વે કરતા પણ વધુ ઝડપી સાબિત થાય છે. ગત (18 એપ્રિલે) રાત્રિએ આ વિસ્તારમાં સિંહપરિવારની આવી જ એક અદભૂત અને રોમાંચક લટાર જોવા મળી હતી. ઝુડવડલી રોડ પર સિંહણ અને બાળનું મિલન ઝાખિયા-ઝુડવડલી રોડ પર ગત રાત્રિએ કુદરતનો અદભૂત નઝારો જોવા મળ્યો હતો. 66 કે.વી. સબસ્ટેશન પાસે આવેલા પાણીના અવેડામાં એક સિંહણ શાંતિથી જલપાન કરતી જોવા મળી હતી. પાણી પીધા બાદ સિંહણ આગળ વધી અને રસ્તાની વચ્ચે જઈને બેસી ગઈ હતી. સિંહણના આ પગલાને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોએ વાહનો થંભાવી દીધા હતા. થોડીવારમાં ત્યાં સિંહબાળ પણ પહોંચ્યું હતું. જાણે માતાને લેવા માટે જ આવ્યું હોય તેમ, સિંહબાળે પોતાની માતા પાસે પહોંચીને વહાલ કર્યું હતું. આ ભાવનાત્મક મિલન બાદ બંનેએ ફરી એકવાર બે દિવસ જૂના ભેંસના મારણ તરફ પ્રયાણ કર્યું હતું અને ત્યાં મિજબાની માણી હતી. ઝાખિયા-ગીર ગઢડા રોડ પર સિંહ પરિવારની લટાર માત્ર ઝુડવડલી જ નહીં, પરંતુ ઝાખિયાથી ગીર ગઢડા રોડ પર પણ સિંહ પરિવારના દર્શન થયા હતા. રાત્રિના સમયે સિંહબાળ અને સિંહ પરિવારને રસ્તો પસાર કરતા જોઈ વાહનચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા. જવાબદાર નાગરિક તરીકે વાહનચાલકોએ પોતાની ગાડીઓની ગતિ ધીમી કરી હતી અને આ અદભૂત દૃશ્યોને પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. સુરક્ષા અને તંત્રની જવાબદારી ઝુડવડલી થી ખિલાવડ સુધીના પંથકમાં સિંહોની સતત હિલચાલ જોવા મળી રહી છે. દૂર-દૂરથી લોકો અહીં સિંહ દર્શન કરવા આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નીચે મુજબની બાબતો ખૂબ જ મહત્વની બની જાય છે: આ વિસ્તારના લોકો સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વને જાળવી રાખવા માટે સજાગ છે, પરંતુ વન વિભાગનું સક્રિય પેટ્રોલિંગ આ સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકે છે. ---- આ પણ વાંચો બે સિંહણ પોતાના બાલુડાના રખોપાં કરતી જોવા મળી સિંહપ્રેમીઓ અને પર્યટકો એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે સફારી પાર્કમાં હજારો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ઉના પંથકમાં તો વનરાજ 'ઘરઆંગણે' દર્શન આપી રહ્યા છે. ઉના શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલ ઝુડવડલી ગામની સીમમાં 17 એપ્રિલની રાત્રિએ સિંહ પરિવારની અદભૂત મિજબાની જોવા મળી હતી. જુઓ સંપૂર્ણ વીડિયો… મધરાતે સિંહણે ગાયનું મારણ કરી મિજબાની માણી ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર પર આવેલા સનવાવ ગામમાં 16 એપ્રિલે મોડી રાત્રે વનરાજોની હાજરીથી ગ્રામજનોમાં ફાળ પડી હતી. શિકારની શોધમાં જંગલમાંથી ભટકીને ગામમાં આવી ચઢેલી એક સિંહણે રહેણાક વિસ્તારમાં ગાયનું મારણ કરી કલાકો સુધી રોડ પર જ મિજબાની માણી હતી. અહીં ક્લિક કરી જુઓ વીડિયો… સિંહણે ગાયનો શિકાર કરવાની બહુ ટ્રાય કરી પણ મેળ ન પડ્યો ગીરના કાંઠે આવેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં 1 અપ્રિલની વહેલી સવારે કુદરતનો એક અનોખો સંઘર્ષ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં આવેલી 2 સિંહણે એક ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે અદમ્ય હિંમત દાખવી વળતો પ્રતિકાર કરતા બંને સિંહણને શિકાર વગર જ પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબેન છોડવડિયાના ફાર્મ હાઉસ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો…

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 10:32 am

'જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ':રામોલ- હાથીજણમાં ખાડાઓને લઈને ભાજપના ઉમેદવાર પર મહિલા વિફરી, '10 વખત કહ્યું છતાં કામ ના કર્યું'

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે ઉમેદવારો હવે દોડતું ડોર પ્રચારમાં નીકળી રહ્યા છે. ત્યારે પ્રજા પોતાનો રોષ તેમની સામે ઠાલવી રહી છે. અમદાવાદમાં એક બાદ એક ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રામોલ- હાથીજણ વોર્ડમાં મત માંગવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર એવા મૌલિક પટેલ અને કાર્યકર્તાઓનો મહિલાએ વિરોધ કર્યો હતો. મહિલાએ રોડ પર પડેલા ખાડા અને અન્ય સમસ્યાઓને લઈને જ્યારે 10 વખત રજૂઆત કરી ત્યારે જોવા આવ્યો નહીં અને હવે મત માંગવા માટે આવ્યા છો એટલે જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ એમ કહી વાત કરી હતી. મહિલા ઉગ્ર વિરોધ કરી રહી હતી ત્યારે કાર્યકર્તા વચ્ચે બોલતા દારૂડિયાઓને લઈને આવો છો એવું પણ બોલી હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 'જેવા આવ્યા છે એવા અહીંયાથી નીકળી જાઓ'અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ તેમના કાર્યકર્તાઓની સાથે રાત્રે ડોર પ્રચારમાં નીકળ્યા હતા. વોર્ડમાં પ્રચાર દરમિયાન એક સોસાયટીમાં જતા મહિલાએ વિરોધ કર્યો હતો. મહિલાએ કહ્યું હતું કે, પાંચ વર્ષમાં તમે અત્યારે દેખાયા છો પછી અમને ઓળખતા નથી. જ્યારે અમે તમને ફરિયાદ કરીએ છીએ ત્યારે તમે અમને કોઈ સપોર્ટ કરતા નથી. ખાડા ટેકરા માટે અનેક વખત રજૂઆત કરી છે. મૌલિક પટેલને 10 વખત કહ્યું છે. મૌલિક પટેલને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો તેમણે કહ્યું હતું કે જેવા આવ્યા છે એવા અહીંયાથી નીકળી જાઓ. 'બધા પીધેલાને લઈને તમે આવી જાવ છો'મહિલા જ્યારે બોલી રહી હતી ત્યારે ભાજપના કાર્યકર્તા સામે બોલતા મહિલાએ કહ્યું હતું કે, બધા પીધેલાને લઈને તમે આવી જાવ છો. જેથી કાર્યકર્તાઓએ કહ્યું હતું, અમે કોઈ પીધેલાઓને લઈને નથી આવતા. તમે પીધેલા હશો એવી રીતે પણ વાત કરી હતી. મૌલિક પટેલ સામે ઉગ્રતાથી મહિલાએ વિરોધ કર્યો હતો. 'મત ના આપવો હોય તો કંઈ નહીં'મહિલા ઉગ્રતાથી વિરોધ કરી રહી હતી અને અમારી સોસાયટીમાં નહીં આવવાનું એવું કહ્યું ત્યારે એક કાર્યકર્તા બોલ્યો હતો અને કહ્યું હતું કે સોસાયટી તમારા બાપની નથી. કાર્યકર્તા ઉગ્ર થઈને કહ્યું હતું કે મત ના આપવો હોય તો કંઈ નહીં. એમાં શું છે. મહિલાએ ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓેને સંભળાવ્યુંમહિલા ઉગ્રતાથી વિરોધ કરી રહી હતી અને સંભળાવી રહી હતી ત્યારે ભાજપના કાર્યકર્તા બોલ્યા હતા કે, અમે ખબર અંતર પૂછવા માટે આવ્યા હતાં. ત્યારે મહિલાએ કહ્યું હતું કે, અહીંયા નહીં હોસ્પિટલમાં પૂછવા જવાનું હોય. શાંતિથી વાત કરવાનું કહેતા મહિલાએ કહ્યું હું શું કરવા શાંતિથી વાત કરું. મહિલાએ ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓને કામ ન કર્યા હોવા બાબતે સંભળાવ્યું હતું જેને ભાજપના કાર્યકર્તાઓ સાંભળી શક્યા નહોતા અને મહિલાને પણ સામે બોલવા લાગ્યા હતા. 'અપક્ષના કોઈપણ ઉમેદવારે વોટ માંગવા આવવું નહીં'ના બેનર લાગ્યાઅમદાવાદના લાંભા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડનો પણ વિરોધ પ્રજા દ્વારા કરવામાં આવી રહ્યો છે. લાંભાના અલગ અલગ વિસ્તારોમાં અપક્ષ ઉમેદવાર 'કાળુભાઈ ભરવાડ અહિયાં વોટ માંગવા આવવું નહીં'એવા બેનર લગાવવામાં આવ્યા છે. અપક્ષના કોઈપણ ઉમેદવારે વોટ માંગવા આવવું નહીં એવા બેનર લગાવીને વિરોધ કર્યો છે. જ્યારે સોસાયટીમાં 'કાળુભાઈ ભરવાડ ભાજપના દલાલ બનીને પ્રજાના હિતના ચેડા કરવા મત માંગવા આવવું નહીં' એવા બેનર લગાવવામાં આવ્યા છે. લાંભા વોર્ડમાં અપક્ષના ઉમેદવાર કાળુભાઈ ભરવાડ નો ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 10:22 am

શિરવાણ ગામનો ચૂંટણી બહિષ્કાર:​રાષ્ટ્રપતિએ જેમને સન્માન આપ્યું તે સીદી સમાજની ઉપેક્ષા, 300 મતદારો માટે બૂથ 6 કિમી દૂર ખસેડાતા ગ્રામજનોમાં રોષ; તંત્ર દોડતું થયું

​જૂનાગઢના મેંદરડા તાલુકાના ગીર જંગલની મધ્યમાં આવેલું શિરવાણ ગામ અત્યારે વહીવટી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. દાયકાઓથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહેલા સીદી સમાજના આ લોકોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી ગામમાં જ રહેલું પોલિંગ બૂથ આ વખતે કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર 6 કિલોમીટર દૂર અમૃતવેલ ગામે ખસેડી દેવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે 300 જેટલા મતદારોના લોકશાહીના અધિકાર પર જોખમ ઊભું થયું છે. ​ગામમાં એક મતદાન મથકની ગ્રામજનોની માગશિરવાણ ગામના લોકો માટે આ સ્થિતિ આઘાતજનક છે, કારણ કે થોડા સમય પહેલા જ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ સાસણની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે આ જ સીદી સમાજના લોકોને ખાસ નિમંત્રણ આપી બોલાવ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમના પરંપરાગત ધમાલ નૃત્યની પ્રશંસા કરી હતી અને ગ્રામજનોની સમસ્યાઓ અત્યંત આત્મીયતાથી સાંભળી હતી. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો દેશના સર્વોચ્ચ વ્યક્તિ તેમને મળી શકતા હોય અને તેમની સમસ્યાઓ સાંભળી શકતા હોય, તો સ્થાનિક વહીવટી તંત્ર કેમ તેમના ગામમાં એક મતદાન મથક જેવી પાયાની સુવિધા જાળવી શકતું નથી. 6 કિલોમીટર દૂર જવું મહિલાઓ માટે પરેશાની​લોકશાહીના આ પર્વમાં તંત્રના બેવડા ધોરણો પણ ચર્ચાનો વિષય બન્યા છે. ગીરના જંગલમાં માત્ર એક મત ધરાવતા બાણેજ અને માત્ર આઠ મત ધરાવતા અન્ય વિસ્તારો માટે તંત્ર ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરી ગર્વ લે છે, ત્યારે શિરવાણ જેવા 700થી વધુની વસ્તી અને 300 મતદારો ધરાવતા ગામની અવગણના કરવામાં આવી છે. જંગલનો પથરાળ રસ્તો, હિંસક પશુઓનો સતત ભય અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને દિવ્યાંગો માટે 6 કિલોમીટર દૂર અમૃતવેલ જવું વ્યવહારિક રીતે અશક્ય છે. ​ગામમાં બૂથ નહીં તો ચૂંટણી બહિષ્કારની ચીમકીગામના યુવાનો અને આગેવાનો જણાવે છે કે ગામમાં પોતાની પ્રાથમિક શાળા હોવા છતાં અને ત્યાં મતદાન મથક માટે પૂરતી સુવિધા હોવા છતાં તંત્રએ જાણીજોઈને આ ફેરફાર કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે તેમને તાલાલા તાલુકાના રસૂલપુરા ગામે જવું પડતું હતું, જે પણ તેમના માટે અન્યાયકર્તા હતું. હવે સ્થાનિક ચૂંટણીમાં પણ આ પ્રકારની હેરાનગતિ થતાં સમગ્ર સીદી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો ગામમાં બૂથ નહીં અપાય તો એક પણ વ્યક્તિ મતદાન કરવા નહીં જાય. '​રાજ્ય ચૂંટણી પંચને નવા મતદાન મથક માટે દરખાસ્ત મોકલી છે'આ મામલે વિવાદ વધતા જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે શિરવાણ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં હોવાથી અને સ્થાનિક ચૂંટણીમાં બીજા જિલ્લાના ગામનો ઉપયોગ કરી શકાતો ન હોવાથી અમૃતવેલ નેસ ખાતે બૂથ ફાળવવામાં આવ્યું હતું. જોકે, ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને તંત્રએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગામમાં સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ છે, તેથી રાજ્ય ચૂંટણી પંચને શિરવાણ ગામમાં જ નવું મતદાન મથક ઊભું કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. તંત્રએ ખાતરી આપી છે કે આગામી ચૂંટણીમાં ગ્રામજનો પોતાના જ ગામમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 10:14 am

ભરૂચ વોર્ડ 8માં ભાજપ ઉમેદવારનો વિરોધ:પ્રચાર દરમિયાન સ્થાનિકોએ વિકાસ કાર્યો ન થયાનો આક્ષેપ કર્યો

ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, ગત રોજ સાંજે વોર્ડ નંબર 8 વિસ્તારમાં પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવારનો સ્થાનિક રહેવાસીઓએ ઘેરાવો કરી વિરોધ નોંધાવ્યો હતો. રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં કોઈ વિકાસ કાર્યો થયા નથી અને ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોનો વિરોધ વધતા, ઉમેદવારોએ પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે શાંતિપૂર્ણ રીતે ત્યાંથી આગળ વધવાનું પસંદ કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. ચૂંટણી પૂર્વે બનેલી આ ઘટના રાજકીય સમીકરણો પર કેવી અસર કરશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:52 am

કુકરાણા જમીન વિવાદ: 6 આરોપીને 7 વર્ષની સખત કેદ:પાટણ સેશન્સ કોર્ટે 12 વર્ષ જૂના જીવલેણ હુમલા કેસમાં ચુકાદો આપ્યો

પાટણની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટે સમી તાલુકાના કુકરાણા ગામે 12વર્ષ જૂના જમીન વિવાદમાં થયેલા જીવલેણ હુમલા કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 આરોપીઓને તકસીરવાન ઠેરવી 7 વર્ષની સખત કેદ અને કુલ ₹78,000નો દંડ ફટકાર્યો છે.જજ એમ.એ.શેખે આ કેસમાં કડક વલણ અપનાવ્યું હતું.આ ઘટના 14 માર્ચ,2014ના રોજ રાત્રિના સમયે બની હતી. કુકરાણા ગામે વાડાની જમીન ખાલી કરાવવા જેવી નજીવી બાબતે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હતી. તેઓ લાકડી, પાઈપ અને ધારીયા જેવા હથિયારો સાથે ધીરસિંહના ઘરે પહોંચ્યા હતા. ધીરસિંહે જમીન આપવાની ના પાડતા, આરોપી તખતસિંહ જવાનજીએ તેમને જાનથી મારી નાખવાના ઇરાદે કપાળના ભાગે ધારીયાનો જીવલેણ ઘા માર્યો હતો.અન્ય આરોપીઓએ ફરિયાદી ચન્દ્રસિંહ અને તેમના પિતા હઠીસિંહ પર પાઇપ તથા લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. કેસની સુનાવણી દરમિયાન, સરકારી વકીલ જે. જે.બારોટે આરોપીઓને સખત સજા કરવા માટે દલીલો રજૂ કરી હતી.કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. કોર્ટે નોંધ્યું કે આરોપીઓનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવા છતાં,રહેણાંક વિસ્તારમાં હથિયારો સાથે હુમલો કરી દહેશત ફેલાવવી એ ગંભીર ગુનો છે. કોર્ટે ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 149 હેઠળ તમામ 6 આરોપીઓને 7 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને ₹10,000નો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરાય તો વધુ 2 માસની કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, કલમ 148 હેઠળ 15 માસની સાદી કેદ અને ₹2,000 દંડ,તેમજ કલમ 147 હેઠળ 9 માસની સાદી કેદ અને ₹1,000 દંડની સજા પણ સંભળાવવામાં આવી હતી. સજા પામેલા આરોપીઓમાં તેજન્દ્રસિંહ તખતસિંહ,તખતસિંહ જવાનજી, વિક્રમસિંહ જવાનજી, કુલદિપસિંહ બળવંતસિંહ, બળવંતસિંહ જવાનજી અને વિરેન્દ્રસિંહ તખતસિંહનો સમાવેશ થાય છે.ન્યાયાધીશે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે સમાજમાં ગુનાહિત વૃત્તિ પર અંકુશ લાવવા અને શાંતિ જાળવવા માટે ગુનેગારોને યોગ્ય સજા મળવી અનિવાર્ય છે. આ ઘટનાના ક્રોસ કેસમાં પણ પાટણ સેશન્સ કોર્ટે બે આરોપીઓને સજા ફટકારી છે. ફરિયાદી વિક્રમસિંહે નોંધાવેલી ક્રોસ ફરિયાદમાં વાઘેલા ચન્દ્રસિંહ હઠીસિંહ અને વાઘેલા ધીરસિંહ ઉર્ફે ધીરજી હઠીસિંહને IPC કલમ 324 અને 114 હેઠળ ₹5,000નો દંડ અને દંડ ન ભરે તો 2 માસની સાદી કેદની સજા થઈ છે. વધુમાં, કલમ 323 અને 114 હેઠળના ગુનામાં પ્રત્યેક આરોપીને 1 માસની સાદી કેદ અને ₹500નો દંડ, તેમજ દંડ ન ભરે તો વધુ 10 દિવસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો છે. આ ક્રોસ કેસમાં સરકારી વકીલ આર.પી. દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:50 am

જાકાસણાની સીમમાં શરાબી પુત્રનો પિતા પર હુમલો:પૈસા આપવાની ના પાડતા લાકડાના દંડાથી પિતાને માર મારતાં ગંભીર ઇજા

મહેસાણાના જોટાણા તાલુકાના જાકાસણા ગામની સીમમાં પૈસાની માગણી કરી શરાબી પુત્રએ પોતાના પિતાને લાકડાના દંડા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં પિતા દ્વારા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈને પિતાને મારમાર્યોમૂળ મુદરડા લક્ષ્મીપુરાના વતની અને હાલ જાકાસણા સીમમાં પઠાણ સાહેબખાનના બોર પર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા 55 વર્ષીય રામતુજી ગંભીરજી ઠાકોર ગત તારીખ 16 એપ્રિલની રાત્રે જમી પરવારીને ખાટલામાં સૂતા હતા. તે સમયે તેમનો પુત્ર વિજય નશાની હાલતમાં ઘરે આવ્યો હતો અને પિતા પાસે પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. પિતાએ તેને કામ ધંધો કરવાની સલાહ આપી પૈસા આપવાની ના પાડતા વિજય ઉશ્કેરાઈ ગયો હતો અને પિતા સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. લાકડું ઉપાડી પિતાના માથાના ભાગે ફટકાર્યુંમામલો એટલી હદે વણસ્યો કે, પુત્રએ નજીકમાં પડેલું લાકડું ઉપાડી પિતાના માથાના ભાગે ફટકાર્યું હતું. આ હુમલામાં પિતા નીચે પડી જતાં તેમને ડાબા હાથે,પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયારામતુજીએ બચાવ માટે બૂમો પાડતા તેમનો બીજો પુત્ર બકાજી અને પુત્રવધૂ મધુબેન દોડી આવ્યા હતા અને હુમલાખોર પુત્રથી પિતાને છોડાવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક જોટાણા સિવિલ અને બાદમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવીહાલમાં ઈજાગ્રસ્ત પિતાને વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોએ તેમના ડાબા હાથ અને જમણા પગમાં ફેક્ચર હોવાનું તેમજ માથાના પાછળના ભાગે અને પગમાં ટાંકા આવ્યા હોવાનું જણાવ્યું છે. આ ઘટના અંગે ભોગ બનનાર પિતાએ સાંથલ પોલીસ મથકે પોતાના જ પુત્ર વિજય વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:49 am

મોડાસામાં કોંગ્રેસ ઉમેદવારોનો ઘોડા પર અનોખો પ્રચાર:નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ 3-4 ના ઉમેદવારોનો વરઘોડા સાથે પ્રચાર

મોડાસા નગરપાલિકા ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 3 અને 4 ના કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી રીત અપનાવી હતી. તેઓ ઘોડા પર સવાર થઈ ઢોલ-નગારાના તાલે વરઘોડા સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 4 માંથી દીપેન પટેલ, ભારતીબેન મોચી, વિક્રમભાઈ આદિવાસી અને હિરલબેન ખાંટ જ્યારે વોર્ડ નંબર 3 માંથી જયાબેન પટેલ, ડિસ્પલબેન ખાંટ, રાજેન્દ્રસિંહ રાજપૂત અને રાધાબેન રાવળ ઘોડા પર સવાર થઈ પ્રચારમાં જોડાયા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા. આ પ્રચાર પદ્ધતિ શહેરમાં પ્રથમ વખત જોવા મળી હતી, જેના કારણે મતદારોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યામાં મતદારો અને સ્થાનિકો આ અનોખો પ્રચાર જોવા ઉમટી પડ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે અને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા અપનાવવામાં આવેલી આ અનોખી પ્રચાર પદ્ધતિએ મતદારોનું ધ્યાન ખેંચ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:48 am

વડાલી કેમ્પસમાં નવા સત્રથી MSc IT, સોઈલ લેબ:યુનિવર્સિટીનું આયોજન; રજિસ્ટ્રાર, અધિકારીઓએ સુવિધાઓની ચકાસણી કરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વડાલી કેમ્પસ ખાતે નવા શૈક્ષણિક સત્રથી એમએસસી આઈટી (MSc IT) અને સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી સુવિધાઓની ચકાસણી કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. રજિસ્ટ્રાર અને બાંધકામ વિભાગના અધિકારીઓએ વડાલી કેમ્પસ ખાતે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. યુનિવર્સિટી દ્વારા વડાલી કેમ્પસમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી એમએસસી સીએ એન્ડ આઈટી (MSc CA IT) નો પાંચ વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના છે. આ અદ્યતન બિલ્ડિંગમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્પ્યુટર લેબ, અધ્યાપકો, લેબોરેટરી અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની જરૂરિયાત ચકાસવા માટે પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં એમએસસી આઈટી વિભાગના ભાવેશભાઈ પટેલ અને બિરેનભાઈ પટેલ, કેમેસ્ટ્રી વિભાગના વડા કોકિલાબેન પરમાર, હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા કે.કે. પટેલ અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પારુલબેન ત્રિવેદીનો સમાવેશ થાય છે. આ ટીમ એમએસસી આઈટી કોર્સ શરૂ કરવા માટેની સુવિધાઓની ચકાસણી કરી તેનો અહેવાલ કુલપતિને સુપરત કરશે. આ ઉપરાંત, વડાલી કેમ્પસ ખાતે ખેડૂતોની જમીનના નમૂનાની ચકાસણી માટે સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવાનું પણ આયોજન છે. સમિતિના સભ્યો દ્વારા આ બાબતની પણ જરૂરી સુવિધાઓ ચકાસવામાં આવી રહી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. રોહિતભાઈ દેસાઈ, આર્કિટેક્ચર વિભાગના વડા મીરાબેન ચેતવાણી અને એસ્ટેટ એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરાએ વડાલી કેમ્પસની મુલાકાત લઈ જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ માહિતી કુલપતિ ડૉ. કે.સી. પોરિયાએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:48 am

ઉધના રેવલે સ્ટેશન પર 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા ટળવળતા મુસાફરો:અસહ્ય ગરમીમાં એક બેભાન, હાથમાં પત્નીની અસ્થિ સાથે યુવકની વેદના; 8000 લોકો માટે માત્ર બે ટ્રેન

ઉનાળાના વેકેશનની શરૂઆત સાથે જ સુરતમાં વસતા પરપ્રાંતીયોની વતન વાપસી શરૂ થઈ છે, પરંતુ આ મુસાફરી તેમના માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે. હજારોની સંખ્યામાં મુસાફરો અંત્યોદય ટ્રેનમાં જગ્યા મેળવવા ઉમટી પડ્યા છે, જેના કારણે સ્ટેશનની બહાર લગભગ 2 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. ભીષણ ગરમી અને શેડનો અભાવ: મુસાફરો રામભરોસેસુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે કલાકો સુધી લાઈનમાં ઉભેલા મુસાફરો માટે શેડની પૂરતી વ્યવસ્થા નથી. મુસાફરો ધોમધખતા તડકામાં ખુલ્લા આકાશ નીચે બેસવા મજબૂર બન્યા છે. જ્યાં થોડા-ઘણા શેડ છે ત્યાં પણ 50% પંખાઓ બંધ હાલતમાં છે. ગરમી અને ગૂંગળામણને કારણે મુસાફરોની હાલત દયનીય બની છે. આરોગ્ય સુવિધા શૂન્ય: લાઈનમાં ઉભેલા યુવકને ખેંચ આવીહજારોની ભીડ વચ્ચે મેડિકલ ઈમરજન્સી સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ભીડ અને ગરમીને કારણે એક મુસાફરને અચાનક ખેંચ આવી જતાં તેની હાલત ગંભીર બની ગઈ હતી. આવી કટોકટીમાં પણ સ્ટેશન પરિસરમાં કોઈ એમ્બ્યુલન્સ હાજર નહોતી. મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? અંધારામાં પ્રતિક્ષા અને સુરક્ષાનો ભયઅનેક મુસાફરો છેલ્લા 16-16 કલાકથી ભૂખ્યા-તરસ્યા ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. રાત્રિના સમયે જ્યાં લાંબી કતારો છે ત્યાં સ્ટ્રીટ લાઈટની કોઈ વ્યવસ્થા ન હોવાથી મુસાફરોએ અંધારામાં રાત પસાર કરવી પડી હતી. અંધારાને કારણે ચોરી અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, જેમાં નાના બાળકો અને મહિલાઓની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. તંત્ર લાચાર: પોલીસને પરસેવો છૂટ્યોટ્રેનની ક્ષમતા કરતા 500 ગણા વધુ મુસાફરો ઉમટી પડતા રેલવે અને સ્થાનિક પોલીસના પરસેવા છૂટી ગયા છે. પરિસ્થિતિ વણસતા પોલીસે મુસાફરોને અત્યારે સ્ટેશન ન આવવા વિનંતી કરવી પડી હતી. દરમિયાન, પોલીસ અને મુસાફરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. આટલી મોટી ભીડને સૂચના આપવા માટે પૂરતા લાઉડ સ્પીકર જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો હતો. માનવતાનું દૃશ્ય: અસ્થિ લઈને નીકળેલા પરિવારની વ્હારે આવી પોલીસઆ અરાજકતા વચ્ચે એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો હતો. અભાજીત બિંદ નામનો યુવક તેની સ્વર્ગસ્થ પત્ની નીલમ દેવીની અસ્થિઓ લઈને પ્રયાગરાજ જવા માટે વલખા મારી રહ્યો હતો. ભીડને કારણે તેને ટ્રેનમાં ચઢવામાં મુશ્કેલી પડી રહી હતી. આ વેદના રેલવે પોલીસના ધ્યાને આવતા તેમણે માનવતા દાખવી પરિવારને તાત્કાલિક તાપી ગંગા ટ્રેનમાં રવાના કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:45 am

પાટણ વોર્ડ 1 ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન:નેતાઓના કોંગ્રેસ પર પ્રહાર, વિવેક પટેલે 5 વર્ષ કાર્યાલય ખુલ્લું રાખવાની જાહેરાત કરી

પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ તેજ બન્યો છે. વોર્ડ નંબર 1ના ભાજપના ચારેય ઉમેદવારોના પ્રચાર અર્થે સાલવીવાડા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,પ્રભારી સત્યન કુલાબકર અને પૂર્વ કોર્પોરેટર મનોજપટેલે કાર્યકરોમાં ઉત્સાહ પૂર્યો હતો અને કોંગ્રેસની વિચારધારા સામે આકરા પ્રહારો કર્યા હતા. વોર્ડ નંબર 1ના ભાજપના ચાર ઉમેદવારો વિવેક રમેશભાઈ પટેલ,નીતાબેનપટેલ, અશોક વદનજી ઠાકોર અને ચંદ્રિકાબેન રાવળના સમર્થનમાં આ કાર્યાલય કાર્યરત કરાયું છે. કાર્યાલયનું ઉદ્ઘાટન ગોપાલભાઈપાઠક, કાલિકા માતાજી મંદિરના પુજારી અશોકભાઈ વ્યાસ, પ્રભારી સત્યન કુલાબકર અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે કાલિકા મંદિરના પુજારીએ ચારેય ઉમેદવારોને વિજયના આશીર્વાદ પાઠવ્યા હતા.આ તબક્કે ઉમેદવાર વિવેક પટેલે જાહેરાત કરી હતી કે આ કાર્યાલય માત્ર ચૂંટણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ આગામી પાંચ વર્ષ સુધી વોર્ડના મતદારોના સુખ-દુઃખમાં સહભાગી થવા માટે ખુલ્લું રાખવામાં આવશે. પૂર્વ કોર્પોરેટર મનોજપટેલે સભાને સંબોધતા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે અગાઉની સભામાં કરેલી વાતના આધારે કોંગ્રેસીઓએ તેમના પર દેશદ્રોહની ફરિયાદ કરી હતી,જે કેસ હજુ પણ ચાલુ છે.તેમણે સનાતની મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે કોંગ્રેસે હંમેશા સનાતન ધર્મને કચડવાનો પ્રયાસ કર્યો છે અને આતંકવાદીઓને સાથ આપ્યો છે. મનોજ પટેલે દાવો કર્યો હતો કે જ્યારે રામ ભક્તો પર ગોળીઓ ચાલતી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ મહેફિલો માણતા હતા. તેમણે 26તારીખે ભાજપને જંગી મતોથી વિજયી બનાવવા હાકલ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે નગરપાલિકામાં ભાજપની સરકાર બનાવવી એ જ લક્ષ્ય છે. ચૂંટણી પ્રભારી સત્યન કુલાબકરે કોંગ્રેસની પડતી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 720 જેટલી બેઠકો પર ફોર્મ પરત ખેંચાતા ભાજપ બિનહરીફ વિજેતા બની છે. તેમણે કોંગ્રેસને ડૂબતા ટાઈટેનિક જહાજ સાથે સરખાવી હતી.કુલાબકરે ઉમેર્યું હતું કે કોંગ્રેસે હંમેશા વિકાસ અને નારી શક્તિ બિલનો વિરોધ કર્યો છે.રામલલ્લાને કાલ્પનિક ગણાવી કોંગ્રેસે એફિડેવિટ કર્યું હોવાનો ઉલ્લેખ કરી તેમણે આ જંગને 'રામ અને રોમ' વચ્ચેની લડાઈ ગણાવી હતી અને દાવો કર્યો હતો કે જનતા રામની સાથે છે. પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે મતદારોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ કે અપક્ષને મત આપવો એટલે મત બગાડવા સમાન છે.કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી નગરપાલિકામાં પણ ભાજપના શાસનથી વિકાસની ગતિ તેજ બનશે. તેમણે કાર્યકરોને ઓવર કોન્ફિડન્સમાં ન રહેવા અને છેલ્લા 4 થી 5 દિવસ વ્યક્તિગત સંપર્ક કરી પ્રત્યેક મતદાતા સુધી પહોંચવા વિનંતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:45 am

રાજકોટમાં 21500 ઉમેદવારોની PSI બનવા માટેની પરીક્ષા:ઇલેક્શન ફીવર વચ્ચે એક્ઝામ, સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓએ કહ્યું - નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હવે પૂરું થશે

ગુજરાત રાજ્યમાં ઇલેક્શન ફીવર વચ્ચે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટેની આજે 19મી એપ્રિલના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ એમ 4 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્રના 21,500 ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન તેમનું બાયોમેટ્રિક અને ફ્રસ્કિંગ થકી કડક ચેકિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. પરીક્ષાર્થીઓએ કહ્યું હતું કે નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હવે સાકાર થશે. રાજકોટ શહેરના 74 પરીક્ષા કેન્દ્ર પર 719 વર્ગખંડમાં પીએસઆઇ બનવા માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના શેસનમાં 9:30 થી 12:30 સુધી પ્રિલિમ્સનું પેપર છે અને બપોરના સેશનમાં 3 થી 6 વાગ્યા સુધી મેઇન્સ એક્ઝામ લેવામાં આવનાર છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ઉમેદવારોની પરીક્ષા રાજકોટમાં આયોજિત કરવામાં આવી છે જેથી આજે સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યાં યુવક અને યુવતીઓ PSI બનવા માટેની પરીક્ષા આપવા ઉત્સાહ સાથે પહોંચ્યા હતા. રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે પીએસઆઇની પરીક્ષા આપવા પહોંચેલા વિનાયત મજગુલે જણાવ્યું હતું કે, હું જુનાગઢથી પીએસઆઇની પરીક્ષા આપવા માટે અહીં રાજકોટ આવ્યો છું. બે વર્ષથી આ માટેની તૈયારી ચાલુ છે. હું તાજેતરમાં જ LRD (લોકરક્ષક દળ)માં સિલેક્ટ થઈ ગયો છું જેની ગાંધીનગરના કરાઈ ખાતે ટ્રેનિંગ ચાલુ છે. મારા પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરતા નથી પરંતુ મને નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હતુ. આજે સવારના શેસનમાં પ્રિલિમ્સ અને બપોરના સેશનમાં મેન્સની એક્ઝામ છે. જ્યારે અન્ય ઉમેદવાર પ્રદીપ રાઠોડે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામથી આવું છું. પીએસઆઇની પરીક્ષા માટેની તૈયારી સારી કરી છે. હાલ હું બિનહાથિયારી લોકરક્ષક દળમાં સિલેક્ટ થઈ ગયો છું. પીએસઆઇ માં આવવાનું કારણ એકમાત્ર સ્વપ્ન છે. મારા પરિવારમાંથી કોઈ આ ક્ષેત્રમાં નથી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:40 am

ભાડજ હરે કૃષ્ણ મંદિરમાં 11મો પાટોત્સવ, ભક્તો ઉમટ્યા:રથયાત્રા અને હિંડોળા ઉત્સવ સાથે ભક્તિમય માહોલ સર્જાયો

અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં શ્રી શ્રી રાધા માધવના 11મા પાટોત્સવની ઉજવણી શરૂ થઈ છે. મંદિરની સ્થાપનાને 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના પ્રથમ દિવસથી જ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે ઉત્સવમાં ભક્તિ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો. ભગવાન શ્રી રાધા માધવને આ અવસરે ખાસ રીતે બનાવેલા નવા વસ્ત્રોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. ભગવાનના શણગાર માટે દક્ષિણ ભારતથી વિશેષ પુષ્પો મંગાવવામાં આવ્યા હતા, જેણે મંદિરની શોભામાં વધારો કર્યો હતો. પાટોત્સવના બીજા દિવસે સર્વશક્તિમાન ભગવાન શ્રી રાધા માધવની ગજ (હાથી) વાહન ઉત્સવ યાત્રા સાથે ઉજવણી આગળ વધી હતી. આ કાર્યક્રમ માટે દર વર્ષે ઉપયોગમાં લેવાતો ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. આશરે 20,000થી વધુ ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અને રથને ખેંચવાની તક ઝડપી હતી. રથયાત્રા દરમિયાન ભક્તોમાં વિવિધ પ્રકારના ખાસ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરે કૃષ્ણ મંદિર, ભાડજના ભક્તો દ્વારા રથયાત્રાની સાથે હરિનામ સંકિર્તન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ હરિનામ કીર્તન અને ભજન સંધ્યા સાથે ઉજવાયો હતો, જેણે બધા ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉત્સવના અંતમાં એક ભવ્ય મહા આરતી અને હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોને સુંદર રીતે શણગારેલા સિંહાસન પર ભગવાનને ઝુલાવવાની અનોખી તક મળી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:39 am

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો હુંકાર:‘દાદાગીરી કરશો તો અડધી રાતે ગાડીઓ લઈને આવીશું’, વીડિયો વાઈરલ થતાં રાજકીય માહોલ ગરમાયો

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં છે. આ દરમિયાન રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અસામાજિકતત્વોને જાહેરમાં ચેતવણી આપતાં ધારાસભ્યના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. શું છે સમગ્ર મામલો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રચારના ભાગરૂપે રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારમાં ધારાસભ્ય હીરા સોલંકી ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ સંબોધી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવતા જાહેરમાં હુંકાર કર્યો હતો. તેમણે સભાને સંબોધતાં કહ્યું હતું કે, આપ સૌને કહેવા આવ્યો છું કે, જો કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાતે ગાડીઓ લઈને અહીં પહોંચી જઈશું. રાજકીય ગરમાવો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. આ નિવેદનને લઈને બે પ્રકારના સૂર ઉઠી રહ્યા છે: 26 એપ્રિલે મતદાનની અપીલ પોતાના સંબોધન દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકીએ આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાજપના ઉમેદવારો માટે મત માંગતાં કહ્યું હતું કે, આપ સૌને વિનંતી કરું છું કે 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપીને આ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવો. ચૂંટણીનો સમય નજીક આવતા જ નેતાઓના આવા વાયરલ વીડિયો અને વિવાદાસ્પદ નિવેદનો સ્થાનિક રાજકારણમાં કેન્દ્રબિંદુ બન્યા છે, જેના કારણે મતદારોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:23 am

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં ઉમેદવારો હવે પરંપરાગત સભાઓ અને રેલીઓ સાથોસાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટયુબ જેવા માધ્યમો ચૂંટણી પ્રચાર માટે મુખ્ય હથિયાર બની રહ્યાં હોવાથી કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને કમાણીની સીઝન ખૂલી છે. ફિલ્મી સ્ટાઈલવાળા વીડિયોથી મતદારોને આકર્ષવાની મથામણ સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર વધુ ઝડપથી અને ઓછી કિંમતમાં મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે છે. તેમાં ઘણાં લોકો કોમેન્ટ્સ અને મેસેજ દ્વારા સીધો પ્રતિસાદ પણ આપે છે, જેનાથી ઉમેદવાર લોકમિજાજ જાણી શકે છે.

ગુજરાત સમાચાર 19 Apr 2026 9:10 am

વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં ડોક્ટરને કડવો અનુભવ:અનલિમિટેડ માર્ગેરીટા પિત્ઝામાંથી નીકળ્યો વાળ; યોગ્ય જવાબ ન મળતા AMCમાં કરી ફરિયાદ

બહાર જમવાના શોખીનો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં અનલિમિટેડ ભોજનનો આનંદ લેવા ગયેલા એક ડોક્ટરના પહેલા પિત્ઝામાંથી જ વાળ નીકળતા હંગામો મચી ગયો હતો. આ બાબતે ડોક્ટરે રેસ્ટોરન્ટ સંચાલકો સામે રોષ પ્રગટ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં લેખિત ફરિયાદ નોંધાવી છે. શું છે સમગ્ર ઘટના?શાહીબાગમાં રહેતા ડો. ધ્રુવ પટેલ તેમના મિત્ર સાથે વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં જમવા ગયા હતા. તેમણે પહેલા સલાડ ખાધું અને ત્યારબાદ પિત્ઝા ઓર્ડર કર્યા હતા. જેવો પહેલો માર્ગેરીટા પિત્ઝા ટેબલ પર આવ્યો, તે ખાવા જતાં જ તેમાં મોટો વાળ જોવા મળ્યો હતો. સ્વચ્છતાના અભાવે ડોક્ટરે તાત્કાલિક તે પિત્ઝા પડતો મૂકી સંચાલકોને જાણ કરી હતી. મેનેજરે સંતોષકારક જવાબ ન આપ્યાનો આક્ષેપડો. ધ્રુવ પટેલે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે મેં કર્મચારીઓને પિત્ઝામાં વાળ હોવાની ફરિયાદ કરી, ત્યારે તેમણે માત્ર પિત્ઝા બદલી આપવાની વાત કહીને સંતોષ માની લીધો હતો. મેનેજર સાથે વાત કરવાની માંગ કરી ત્યારે કર્મચારીઓ એકબીજા પર ખો આપતા રહ્યા અને મેનેજરે પણ કોઈ યોગ્ય પ્રતિસાદ ન આપ્યો. બીજી વાર આવું નહીં થાય: ફ્રેન્ચાઈઝી ઓનરઆ મામલે વિલિયમ જ્હોન્સ પિત્ઝા (શાહીબાગ)ના ફ્રેન્ચાઈઝી માલિક અભયભાઈએ જણાવ્યું હતું કે, બનાવતી વખતે ભૂલથી વાળ આવી ગયો હોઈ શકે છે. અમે આ બાબતે તકેદારી રાખીશું અને બીજી વખત વાળ નહીં આવે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:01 am

PSIની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા:અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 45 હજારથી વધુ ઉમેદવારો, ઉમેદવારે કહ્યું, પરિણામ વહેલું જાહેર થાય તો ઘણો ફાયદો થઈ શકે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની 858 જગ્યા માટે બહાર પાડેલી ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી રહી છે. શારીરિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્ર પર 45 હજારથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ છે. બે સેશનમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા સેશનમાં 9.30થી 12.30 સુધી પરીક્ષા લેવામાં આવી રહી છે. જે બાદ બીજા સેશનમાં 3થી 6 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે. ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં CCTVથી રૂમદરેક પરીક્ષા સેન્ટર પર ભરતી બોર્ડના પ્રતિનિધિને હાજર રાખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર PI/ PSI કક્ષાના અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્ર પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે CCTVની સાથે સાથે PI અને PSI સહિત દરેક કેન્દ્ર પર 6 પોલીસ કોન્સ્ટેબલ તેમજ ટ્રાફિક પોલીસ પણ રાખવામાં આવી છે. તેમજ કરાઈમાં આવેલા પોલીસ ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતે તમામ પરીક્ષા સેન્ટર પરના CCVTનું મોનિટરિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 45,910 ઉમેદવારોએ માટે પરીક્ષારાજ્યભરમાં શારીરિક પરીક્ષામાં પાસ થયેલા 1,10,680 ઉમેદવારો કુલ 371 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 100 કરતા પણ વધુ કેન્દ્રો પર PSI ભરતી માટેની લેખિત પરીક્ષા લેવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 45,910 ઉમેદવારોએ માટે પરીક્ષા યોજાઈ છે. પરીક્ષા સેન્ટર ઉમેદવારોના એરિજિનલ ડોક્યુમેન્ટ અને કોલ લેટર ચેક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા સરળ રહેશે તેવી આશા સાથે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છેતેમજ શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા બે વખત વેરીફીકેશન કરવામાં આવ્યા છે, તેમજ Facial recognition technologyનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે બાદ ઉમેદવારોને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ઉમેદવારોના સાથે સાથે તેમના પરિવારજનો પણ પરીક્ષા સેન્ટર પહોંચી ગયા હતા. 858 જેટલી જગ્યા માટે પરીક્ષા લેવાતી હોવાથી ઉમેદવારોના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેમજ પરીક્ષા સરળ રહેશે તેવી આશા સાથે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. 'આ વખતે મેઈન્સની તૈયારીમાં સૌથી વધુ ફોકસ કર્યું છે'મોડાસાથી આવેલા રોહિત ભરવાડે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી સરકારી પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યો છું. ગઈ વખતે પણ PSIની પરીક્ષા આપી હતી. પરંતુ કેટલીક ભૂલોના કારણે તેમના પાસ થઈ શક્યો નહતો. જો કે આ વખતે તેમાં જે ભૂલ થઈ છે તે સુધારવા માટેનો પ્રયાસ કર્યો છે. જૂની બધી ભૂલી સુધારી પરીક્ષા માટેની તૈયારીઓ કરી છે. આ વખતે મેઈન્સની તૈયારીમાં સૌથી વધુ ફોકસ કર્યું છે. પરીક્ષાની તૈયારીઓ સારી કરી છે જેથી પેપર ગમે તેવું પુછાય વાંધો આવશે નહી. 'આશા છે પેપર સારું રહેશે'ઉમેદવાર વૈશાલીબેને જણાવ્યું હતું કે, ગયા વખત કરતા આ વખતે પરીક્ષાની તૈયારીઓ ઘણી સારી કરી છે. એક વર્ષથી પરીક્ષા માટેની તૈયારી કરી રહી છું. તૈયારી સારી કરી છે જેથી આશા છે પેપર સારું રહેશે. 'જો વહેલું પરિણામ જાહેર થાય તો ઉમેદવારોને ફાયદો થઈ શકે'ઉમેદવાર રાજે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છું. જેથી આ વખતે પરીક્ષા માટે ખૂબ સારી મહેનત કરી છે. કારણ કે ઉંમર પણ 30 વર્ષ થઈ ગઈ છે. જેથી છેલ્લો પ્રયાસ છે કે સરકારી નોકરી જાય. નસીબ કેવું કામ કરે છે તે જોવાનું રહેશે. વિષય વાઇસ પરીક્ષાની પૂરેપૂરી તૈયારીઓ કરી દીધી છે. ગયા વખતે જે લેવલથી પરીક્ષા લેવામાં આવી હતી તે જ લેવલ સાથે તૈયારીઓ કરી છે. પેપર સળંગ પુછાશે તો પરીક્ષા સારી રીતે પાસ થઈ શકશે. જો વહેલું પરિણામ જાહેર થાય તો ઉમેદવારોને તેનો ઘણો ફાયદો થઈ શકે છે. વહેલું પરિણામ મળી જાય તો ઉમેદવારોને નોકરી મળી શકે અને તે સેવામાં લાગી શકે. 'દરરોજ 6 કલાક જેટલી પરીક્ષા માટે તૈયારી કરી છે અને વાંચન કર્યું છે'ઉમેદવાર સંદીપ જોશીએ જણાવ્યું હતું કે, PSI ભરતી પરીક્ષા માટે છેલ્લા છ મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ. દરરોજ 6 કલાક જેટલી પરીક્ષા માટે તૈયારી કરી છે અને વાંચન કર્યું છે. કારણ કે રાત્રે નોકરીએ પણ જવાનું હોવાથી છ કલાક સુધીનું વાંચન થઈ શક્યું છે. નોકરી સાથે પરીક્ષાની તૈયારી કરવી અઘરું થઈ જતું હોય છે કારણ કે ટાઈમ મેનેજ કરવો અઘરો થઈ જતો હોય છે. બંધારણ અને રિઝનિંગ પર સૌથી વધુ ફોકસ કર્યું છે. સરળ પેપર પુછાય તેવી આશા રાખી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 8:55 am

'વઢવાણને સ્મશાન બનાવી દીધું':વોર્ડ નં. 12માં 'હેરિટેજ'ના નામે વિનાશનો આક્રોશ; શહેરની ઔતિહાસિક ઓળખ ભૂંસાતાં જનતા લાલઘૂમ

રાજ્યની નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સત્તા મેળવવા માટે એપ્રિલની કાળઝાળ ગરમી વચ્ચે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 12: ભૌગોલિક અને જ્ઞાતિ સમીકરણ આ વોર્ડમાં ભોગાવો વિસ્તાર, ધોળીપોળ, એસ.ટી. બસ સ્ટેશન, મસ્જિદ ચોક, ગેડીયા હનુમાન, દાજીપરા, લાખુપોળ અને ગુરુકુળ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરની તમામ મહત્વની સંસ્થાઓ પર ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નં. 12માં આ વખતે રસ્તો આસાન નથી. કોંગ્રેસ તેના 37 ટકા કમિટમેન્ટેડ મત જાળવી રાખવા મથામણ કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીના આગમનથી મતોના ધ્રુવીકરણનો ડર ભાજપને સતાવી રહ્યો છે. ખાસ કરીને વઢવાણના અસ્તિત્વના મુદ્દે ભાજપ વિરુદ્ધ વાતાવરણ સર્જાયું છે. સ્થાનિકોની વેદના: 'હેરિટેજ નહીં, વઢવાણને સ્મશાન બનાવી દીધું' વોર્ડ નં. 12ના રહીશો અને રાજકીય અગ્રણીઓએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું માનવું છે કે, મહાનગરપાલિકા બન્યા બાદ વઢવાણની ગરિમાને ઠેસ પહોંચી છે. વઢવાણનું નામ નેસ્તનાબૂદ કરવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર પરમારે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે, વઢવાણને હેરિટેજ બનાવવાના નામે 25 થી 50 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, પણ પરિણામ શૂન્ય છે. ધોળીપોળ બહારની નાની દુકાનો તોડી પાડવામાં આવી, જેનાથી ગરીબ પરિવારો બેરોજગાર બન્યા છે. વઢવાણ જે સંતો-મહંતોની ભૂમિ છે, તેનું નામ ભારતની ડિક્શનરીમાંથી કાઢી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે વઢવાણ વેરાન વગડા જેવું અને સ્મશાન જેવું લાગે છે. અધૂરા પુલ અને ટ્રાફિકની સમસ્યા સ્થાનિક મતદાર ભુપત પરમારે જણાવ્યું કે, વોર્ડ નં. 11, 12 અને 13નો મુખ્ય રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી પુલના કામને કારણે બંધ જેવો છે. જીઆઈડીસી અને માર્કેટયાર્ડ જતો આ મુખ્ય માર્ગ હોવાથી રોજ 20 હજાર લોકો પરેશાન થાય છે. પુલની ઊંચાઈ પણ ઓછી હોવાથી ચોમાસામાં પાણી ફરી વળવાની ભીતિ છે. હેરિટેજ જાહેર કર્યા પછી 200 લોકોની રોજીરોટી છીનવાઈ રમઝાનભાઈ જરકેલાના મતે, હેરિટેજ જાહેર કર્યા પછી 200 લોકોની રોજીરોટી છીનવી લેવાઈ છે. ઐતિહાસિક કિલ્લો જર્જરિત હાલતમાં છે અને તંત્ર પાસે તેના સંચાલન માટે કોઈ આયોજન નથી. લોકોની હાલત મનપા બન્યા પછી વધુ ખરાબ થઈ છે. પાયાની સુવિધાઓનો અભાવ સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નં. 12માં 'વિકાસ'ના નામે થયેલા વિનાશ અને 'હેરિટેજ'ના નામે છીનવાયેલી રોજીરોટી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનશે. શું ભાજપ નવા 21 હજાર મતદારોને રીઝવી શકશે કે પછી વઢવાણની જનતા 'નામ અને ઓળખ' ભૂંસવાના પ્રયાસનો બદલો મતદાન પેટીમાં લેશે તે જોવું રસપ્રદ રહેશે. ----આ પણ વાંચો વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… વોર્ડ નં. 4 માં સુવિધાઓના નામે 'મીંડું' વોર્ડ નં. 4, જે રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યાં સ્થાનિકોમાં તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના મતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં તો તોતિંગ વધારો થયો છે, પરંતુ પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. વોર્ડ નંબર 4નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'? રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. વોર્ડ નંબર 9નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… '15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી' મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. વોર્ડ નંબર 11નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 8:00 am

વૈભવી વારસો બન્યો જર્જરિત:ત્રાપજની કૃષ્ણકુમારસિંહજી ડિસ્પેન્સરી 66 વર્ષથી ખંડેર

અખાત્રીજનો દિવસ એટલે ભાવનગરનો સ્થાપના દિવસ. ભાવનગર (જૂનું નામ ભાવેણા)ના 304માં સ્થાપના દિવસને લઈ અખાત્રીજના દિવસે સરકારી વિભાગો દ્વારા પરંપરાગત રીતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભાવનગરના સ્થાપનાની સાથે અખંડ ભારતમાં પાયાના પથ્થર સમાન ભૂમિકા ભજનવાર ભાવનગર રાજ્યના છેલ્લા પ્રજા વત્સલ શાસક મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને યાદ કરવામાં આવે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે પોતાની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે સને-1919માં તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી બનાવી હતી. જોકે સને-1947માં આઝાદી મળ્યાના 79 વર્ષ બાદ સરકારી તંત્રવાહકોની ઘોર બેદરકારીથી 107 વર્ષ જુની ઐતિહાસિક સ્મારક સમાન શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી ચામાચીડિયાનું ઘર બની ગઈ છે. રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલે સને-1947માં અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ પોતાના ભાવનગર રજવાડાની સંપત્તિ દેશને સમપર્ણ કરી દીધી હતી. જેમાં રાજવી કૃષ્ણકુમારસિંહજીના પ્રજા વત્સલ કાર્યોનો સ્મૃતિ સમાન ત્રાપજ ગામ નજીક આવેલ શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીને પણ દેશને અર્પણ કરી હતી. ત્રાપજ ગામમાં સરકારી દવાખાનાની સવલત થયા બાદ સને-1960ના દાયકામાં શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીનો તબીબી સંશાધનોને ત્રાપજ સરકારી દવાખાનામાં તબદીલ કરવામાં આવ્યા હતા. જેના છ દાયકા બાદ સરકારી તંત્રવાહકોની ઘોર બેદરકારીથી ઐતિહાસિક સ્મારક સમાન શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી જર્જરિત બનતા ઝાડી ઝાંખરા ઉગી નીકળવાની સાથે ચામાચીડિયાનું આશ્રયસ્થાન બન્યું છે. વર્ષ-2000ની આસપાસમાં શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી અને પટાંગણમાં સાફસફાઈ કરાવી સ્થાનિક અને રાજ્ય કક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં વિરાંજલી વનના નામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો. જે સરકારી કાર્યક્રમના ફોટો સેશન બાદ ફરી પ્રજા વત્સલ રાજવીના સ્મૃતિ સમાન સ્મારકની જાણવણીની ફરજ વિસરાઈ ગઈ છે. ત્યારે કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીનો યોગ્ય જાળવણી થાય તે ખુબજ જરૂરી છે. ડિસ્પેન્સરીનું 107 વર્ષ પહેલા કરાયો હતો શિલાન્યાસપોતાની રૈયતની આરોગ્ય સુખાકારી માટે ત્રાપજ ગામ નજીક રાજવી કૃષ્ણકુમારસિંહજીએ કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીનું નિર્માણ કરાવ્યું હતું. 19મી જૂન 1919માં પાલોનપુરના નવાબ સાહેબ એચ.એચ. દેવવાન મહાખાન ઝુબ-તુલ-મુલ્ક કપ્તાન તાલે મહોમદ ખાંજી સાહેબ બહાદુરની વિનંતીથી સર ભીલસિંહજી સી.એસ.આઈ. ભાયનાકરના મહારાજા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હોવાનો શિલાલેખ આજે પણ અહીં મોજુદ છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:53 am

RTE:આગામી 4 મેએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે

ગુજરાતમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં 25 ટકા સંખ્યાને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિના મૂલ્યે પ્રવેશ આપવાનો હોય છે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને આ પ્રક્રિયા 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે ત્યારે હવે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 4 મે રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તારીખ 4 એપ્રિલથી 23 એપ્રિલ એટલે કે 20 દિવસનો સમય મળશે જ્યારે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરીને મંજૂર કે ના મંજૂર કરવા માટેનો સમયગાળો 4 એપ્રિલ થી 25 એપ્રિલ એટલે કે 22 દિવસનો રાખવામાં આવ્યો છે. માત્ર અમાન્ય થયેલી ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો 27 એપ્રિલથી 29 એપ્રિલ ત્રણ દિવસ રહેશે. ‌ માત્ર અમાન્ય થયેલી ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા હોય તેવા ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમય ગાળો 27 એપ્રિલથી 30 એપ્રિલ ચાર દિવસનો રહેશે અને અંતે ચોથી મેના રોજ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ ની જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 9722 જેટલી શાળામાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) હેઠળ ધોરણ-1માં 25 ટકા બેઠકોના હિસાબે કુલ 84700 બેઠક પર 4 એપ્રિલથી શરૂ થયેલી પ્રવેશ કાર્યવાહીની અંતિમ મુદત 17 એપ્રિલથી લંબાવીને 23 એપ્રિલ કરાઈ છે. વિવિધ અંગત કે ટેકનિકલ કારણોસર રજિસ્ટ્રેશનથી વંચિત વિદ્યાર્થીઓ નોંધણી કરાવી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:52 am

પરશુરામ જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી:ભાવનગરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની નીકળશે શોભાયાત્રા, યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે

પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સેના અને સમસ્ત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે રવિવારે ભક્તિમય માહોલમાં નીકળશે વિશાળ મહાશોભાયાત્રા જેમાં 2500 થી વધુ યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે આગામી તારીખ 19 એપ્રિલ 2026, રવિવારના રોજ ભાવનગરની ઘરતી પર એક ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સેના દ્વારા આયોજિત અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમર્પિત આ યાત્રા શિસ્ત અને સંસ્કારના સંગમ સાથે નીકળશે. યાત્રાનો પ્રારંભ અને રૂટ ભક્તિ અને શક્તિના આ મહોત્સવનો પ્રારંભ રવિવારે સવારે 8 કલાકે સદગુરુ આશ્રમથી મંત્રોચ્ચાર સાથે સંતશ્રીઓ, રાજકીય, સામાજિક મુરબ્બીઓની વિશેષ ઉપસ્થિતિમાં થશે. આ શોભાયાત્રા શહેરના નિર્ધારિત માર્ગો પર ભ્રમણ કરી બપોરે 12.30 કલાકે શિવકુંજ આશ્રમ, અધેવાડા ખાતે વિરામ લેશે. ત્યાં ધર્મ સભા થશે ત્યાં ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. આકર્ષણના કેન્દ્રો આ શોભાયાત્રામાં આશરે 2500 જેટલા ઉત્સાહી બ્રહ્મ યુવાનો પારંપરિક ડ્રેસ કોડ અને ડીજેના તાલે જોડાશે. યાત્રાની શોભા વધારવા માટે સંતશ્રીનો રથ અગ્રેસર રહેશે. આ સાથે જ નવદુર્ગાઓના સ્વરૂપે બાળાઓ અને શાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાલતો યજ્ઞ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાન પરશુરામ દાદાની વિશાળ 'ફરસી' સાથેનો ભવ્ય રથ ભક્તો માટે દર્શનનું મુખ્ય કેન્દ્ર રહેશે. સર્વધર્મ સમભાવનો સંદેશ આ આયોજનની વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વિના તમામ સનાતન હિંદુ પરિવારો જોડાશે. મહિલા મંડળો, બ્રહ્મ અગ્રણીઓ, ટ્રેક્ટર, ફોર વ્હીલ અને ટુ વ્હીલર સાથે મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડશે. માર્ગમાં ઠેર-ઠેર રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા ઠંડા પીણા અને પાણીના સ્ટોલ ઊભા કરી યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આયોજકોની અપીલ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ આયોજક કમિટીના સભ્યો અને યુવા પાંખ રાત-દિવસ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજક કમિટી દ્વારા ભાવનગર જીલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને ભગવાન પરશુરામજીના દર્શનનો લાભ લેવા અને શોભાયાત્રામાં સહભાગી થઈ સનાતન સંસ્કૃતિના આ પર્વને ગૌરવવંતું બનાવવા નમ્ર અપીલ કરી છે.સવારે 7 કલાકે આખલોલ મહાદેવ પાસે રાજકોટ રોડ પર ફરસીનુ પુજન અને સાંજે 6.30 કલાકે પરશુરામ પાર્ક સુભાષનગરમાં સમુહમાં મહાઆરતી રાખેલ છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:50 am

એક માસમાં ખેડૂતોના માથે ત્રીજીવાર સંકટ:જિલ્લામાં ફરી બે દિવસ માવઠાની આગાહી

ગુજરાતમાં 40 ડિગ્રીથી 42 ડિગ્રી તાપમાને ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે ત્યારે ત્યારે આવતી કાલ તા. 19 અને 20 એપ્રિલે ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાનમાં આજે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આ અગાઉ ભાવનગરમાં આ એપ્રિલ માસમાં પ્રથમ સપ્તાહમાં બે માવઠા વરસી ગયા હતા. હવે ત્રીજા માવઠાની આગાહી આવતા ખેડૂતો સાવ નિરાશ થઇ ગયા છે. હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. તા.19 એપ્રિલ અને 20 એપ્રિલ, શનિવાર અને રવિવાર, બે દિવસ દરમિયાન ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. અલનીનો અસરને કારણે દેશમાં તેમજ ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલમાં વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત છે. શહેરમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયુ, એક માસમાં ખેડૂતોના માથે ત્રીજીવાર સંકટપ્રતિકૂળ પરિસ્થિતિ અને માવઠાના માર વચ્ચે પણ કેરીના આગમનથી સ્વાદ શોખીનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. કેસર અને હાફૂસના ગઢ ગણાતા વલસાડ, ગીર, તાલાલા અને જેસરની કેરીઓની સુગંધ તો હવે દેશના સીમાડા વટાવી ગઈ છે. ત્યારે ભાવનગરની મધ્યમાં જ આવેલ એક આંબા પર નજાકતથી બેસેલી કેરી લોકોના જઠરાગ્નિને ઉશ્કેરી રહેલી દ્રશ્યમાન થાય છે. હવે તા.19 અને 20 એપ્રિલે માવઠાની આગાહી છે ત્યારે આ આંબા અને કેરીઓને તેનો ડર છે. બપોરે તાપમાન સામાન્યથી 1 ડિગ્રી વધુ નોંધાયુભાવનગર શહેરમાં આજે બપોરે તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે આ સમયગાળામાં હોવું જોઇએ તે સામાન્ય તાપમાનથી 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. લઘુત્તમ ઉષ્ણતામાન 25.6 ડિગ્રી હતુ જે સામાન્યથી 0.7 ડિગ્રી વધુ અને અમદાવાદના લઘુત્તમ ઉષ્ણતામાન 26.0 ડિગ્રી પછી રાજ્યમાં બીજા નંબરે નોંધાયુ હતુ.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:49 am

સાઇબર ઠગો ઝડપાયા:ડિસ્ટ્રીક્ટ બેન્ક સાથે ઠગાઈમાં મુંબઈના માસ્ટર માઇન્ડ, અમદાવાદની મહિલા સહિત 4 જબ્બે

સાઈબર ગઠિયાઓએ હોળી- ધુળેટીની રજાઓમાં ધી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓ. બૅન્ક સહિત દેશની 15 બૅન્કનું સર્વર હેક કર્યું હતું, જેમાંથી ભાવનગર ડિસ્ટ્રીક્ટ બૅન્કનાં 4 ખાતાંના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર તેમજ રકમ બદલીને રૂ.7.34 કરોડ ઉપાડી લીધા હતા. આ રૂપિયા 135 બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવાયા હતા. આ તમામ ખાતાનું એનાલીસીસ કરીને મુંબઈના 1 અને અમદાવાદની મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતાં જે પણ એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કરવામાં આવ્યા હતા તેમાંથી મોટા ભાગના ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓ બૅન્કના જ હતા. પોલીસે એકાઉન્ટધારક તેમજ મ્યુલ બૅન્ક એકાઉન્ટ ભાડેથી રાખનારા અદનાન ઉસ્માનભાઈ શેખ (24) (સરખેજ), રુબીના અબ્દુલકાદર શેખ (31) (વાસણા), સુશિલકુમાર વિનોદકુમાર મેઘવાલ (32)(રખિયાલ) અને કિશોર પ્રભાકર પરદેશી (43) (મુંબઈ)ને ઝડપી લીધા હતા. જોકે રૂ.7.34 કરોડમાંથી રૂ.2.04 કરોડ ફ્રિઝ કરી દેવામાં આવ્યા હતા. 10 લાખનું ટ્રાન્ઝેક્શન મહત્ત્વની કડી સાબિત થઈસાઈબર ગઠિયાઓએ રૂ. 7.34 કરોડ 500 બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કર્યા હતા. તેમાંથી 135 ખાતાં ફસ્ટ લેયરનાં હતાં. તેમાંથી એક ખાતું મીનાબહેન નામની મહિલાના નામે હતું. તેમના ખાતામાં રૂ.7.35 લાખમાંથી રૂ. 10 લાખ આવ્યા હતા. તે પૈસા પતિ સુશિલકુમાર મેઘવાલે રુબીનાને આપ્યા હતા. રુબીનાએ તેના ખાતા અને અન્ય ખાતાંમાંથી પૈસા વિડ્રો કરીને તે પૈસા અદનાન શેખને આપ્યા હતા. આ નેટવર્ક કિશોર પરદેશી સંભા‌ળતો હતો. નાણા સગેવગે કરવા 42 બેંક એકાઉન્ટો ભાડે લીધા હતામોબાઈલમાંથી પોલીસને 42થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી હતી. જેમાં સમગ્ર દેશમાં 15 થી વધુ સાયબર ક્રાઇમના ગુના આચરી અંદાજે રૂ. 4 કરોડની ઠગાઇ કરી હતી. જેમાં આંધ્રપ્રદેશના 1, ગુજરાતના 2, હરિયાણાના 2, કર્ણાટકના 5, મહારાષ્ટ્રના 1 અને તમિલનાડુનું 1 બેંક એકાઉન્ટ મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:48 am