SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

વેરાવળ એકેડમી એસોસિએશન દ્વારા 86 બોટલ રક્તદાન:રેડક્રોસને અર્પણ, ઉનાળામાં રક્તની અછત પૂરવા પહેલ

વેરાવળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના આરોગ્ય ભવન અને બ્લડ સેન્ટર ખાતે વેરાવળ એકેડમી એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ એકેડમી એસોસિએશનના પ્રમુખ પવનભાઈ ગુપ્તા અને ઉપપ્રમુખ યોગેશભાઈ શર્માના સહયોગથી આ શિબિરમાં વેરાવળના તમામ પ્રાઈવેટ એજ્યુકેશન ક્લાસીસના સંચાલકો, મેનેજમેન્ટ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં સવારથી સાંજ સુધીમાં કુલ 86 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં વેરાવળ શહેરમાં રક્તની ઉણપને પહોંચી વળવા માટે આ પહેલ કરવામાં આવી હતી. એકત્રિત કરાયેલું રક્ત ગીર સોમનાથ જિલ્લાના થેલેસેમિયા મેજર બાળકો તેમજ ઓપરેશન અને ડિલિવરીના કેસોમાં તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવા માટે ઉપયોગી થશે. આ પ્રસંગે રેડ ક્રોસના ચેરમેન કિરીટ એન. ઉનડકટે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ થેલેસેમિયા મેજર બાળકોને રેડ ક્રોસ દ્વારા નિઃશુલ્ક રક્ત સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલ કે અન્ય પ્રાઈવેટ હોસ્પિટલોમાં 24x7 રક્તની જરૂરિયાત ઊભી થાય ત્યારે સરકાર દ્વારા નિર્ધારિત ચાર્જ મુજબ રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એમ.ડી. પેથોલોજિસ્ટ ડો. ખેવના કારાવડીયાના માર્ગદર્શન હેઠળ મેનેજમેન્ટ સ્ટાફ અને લેબ ટેકનિશિયન ટીમ કાર્યરત રહે છે. રેડ ક્રોસ મેનેજમેન્ટ વતી પરાગ ઉનડકટે માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ગીર સોમનાથ જિલ્લામાં NHBA સર્ટિફાઈડ કમ્પોનન્ટ બ્લડ બેંક પ્રથમ છે. આ બ્લડ બેંક પ્લેટલેટ અને પ્લાઝમા માટે આશીર્વાદરૂપ છે. ડેન્ગ્યુ અથવા અન્ય ગંભીર કેસોમાં દર્દીઓને ઈમરજન્સીમાં રાજકોટ લઈ જવાની જરૂરિયાત હવે રહેતી નથી. રેડ ક્રોસ દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર સ્વૈચ્છિક રક્તદાતાઓને રક્તદાન કરવા પ્રેરિત કરવામાં આવે છે. બ્લડ કમિટીના સંજય દાવડા, અનિશ રાચ્છ અને ધવલ સિંધવડ સહિતના સેવાભાવીઓ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરે છે. સેક્રેટરી ગિરીશ ઠક્કરે રેડ ક્રોસ દ્વારા પૂરી પાડવામાં આવતી અન્ય સેવાઓ વિશે જણાવ્યું હતું. જેમાં ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ સેન્ટર અને સર્જિકલ સાધનો વિનામૂલ્યે વાપરવા આપવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ વર્ષથી આયુર્વેદિક ઓ.પી.ડી. પણ શરૂ કરવામાં આવી છે, જ્યાં આયુર્વેદિક પદ્ધતિથી નિદાન, દવાઓ, પંચકર્મ સારવાર અને ગર્ભ સંસ્કાર સહિતની સેવાઓ રાહત દરે ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 10:00 pm

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરી પીડિતો માટે લોન મેળાનું આયોજન:પોલીસની મધ્યસ્થીથી બેંકો દ્વારા તાત્કાલિક લોન અપાશે

સુરેન્દ્રનગર પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા પરિવારો અને આર્થિક સંકળામણ અનુભવતા લોકોને મદદ કરવા માટે એક અરજી મેળાનું આયોજન કર્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિતોને બેંકો દ્વારા તાત્કાલિક લોન ઉપલબ્ધ કરાવવાનો અને તેમને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવાનો છે, જેમાં પોલીસ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહી છે. આ અરજી મેળામાં સુરેન્દ્રનગર પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), યુનો બેંક અને સુરેન્દ્રનગર ગુજરાત ગ્રામીણ બેંક સહિતની સરકારી બેંકોના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યવસ્થા દ્વારા, પોલીસ માત્ર વ્યાજખોરો સામે કાર્યવાહી જ નહીં, પરંતુ આર્થિક સંકળામણમાં ફસાયેલા લોકોને વ્યવહારુ ઉકેલ પણ પૂરો પાડી રહી છે. આ લોન મેળાનો મુખ્ય હેતુ લોકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરવાનો અને આર્થિક તંગીના કારણે કોઈ અંતિમ પગલું ન ભરે તેની ખાતરી કરવાનો છે. રેન્જ આઈ.જી. નિલિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના ASP વેદિકા બિહાનીએ જણાવ્યું હતું કે, આ આયોજન દરમિયાન 100થી વધુ લોકોએ અરજી મેળામાં ભાગ લીધો હતો અને તેમની આર્થિક સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. સુરેન્દ્રનગર ડિવિઝન હેઠળ આવતા છ પોલીસ સ્ટેશનના કુલ 100થી વધુ અરજદારો દ્વારા વિવિધ પ્રકારની અરજીઓ કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ બોર્ડ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં છ પોલીસ સ્ટેશનના PI અને PSI સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો હતો. વ્યાજખોરોથી ત્રાસ અનુભવતા લોકોની અરજીઓ સ્વીકારીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા ઔદ્યોગિક એકમોને 10,000 થી 50,000 રૂપિયા સુધીની લોન આપવાની તાત્કાલિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં પૂરતા પુરાવા ધરાવતા વ્યક્તિઓને અરજી મેળામાં જ લોન આપવાની શરૂઆત થઈ હતી.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 9:56 pm

કબ્રસ્તાન બહાર રોલિંગ મિલ માલિક પર છરીથી હુમલાનો પ્રયાસ:એક વર્ષ પહેલા થયેલ ઝઘડાની દાઝ રાખી અજાણ્યો શખસ છરી લઈ મારવા દોડ્યો

ભાવનગર શહેરમાં એક વર્ષ પહેલાની જૂની અદાવતે ફરી વળ્યું અને તેનું સ્વરૂપ આ વખતે જીવલેણ હુમલા સુધી પહોંચ્યું. વિજયરાજનગર વિસ્તારના પ્રખ્યાત રોલિંગ મિલ માલિક હાજી અફઝલ સુકુન (ઉં.42) પર કબ્રસ્તાનના ગેટ પાસે છરી લઈને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદી હાજી અફઝલે ઘોઘારોડ પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. કબ્રસ્તાનના મુખ્ય ગેટમાંથી બહાર નીકળતા જ ઉદ્યોગપતિ પર હુમલોઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, હાજી અફઝલ સુકુન વિજયરાજનગર શેરી નંબર-3 સુકુન બંગ્લોઝમાં રહે છે અને તેઓ રોલિંગ મિલના માલિક છે. ગઈકાલે તેઓ રબર ફેક્ટરી રોડ પર આવેલ કબ્રસ્તાનમાં નમાજ અદા કરવા ગયા હતા. નમાજ પૂર્ણ કરીને કબ્રસ્તાનના મુખ્ય ગેટમાંથી બહાર નીકળતા જ અલ્તાફ ખોખર નામના શખ્સે તેમને રોકી લીધા અને ગાળો દઈને કહ્યું, “તને મારી નાખીશ.” અલ્તાફે કારનો પીછો કર્યો અને હુમલાનો પ્રયાસ ચાલુ રાખ્યોહાજી અફઝલે જવાબમાં પૂછ્યું કે “તું મને હેરાન શા માટે કરે છે?” આ વાતથી ઉશ્કેરાયેલા અલ્તાફે પોતાની પાસે રહેલી છરી કાઢી અને હાજી અફઝલને મારવા દોડ્યો. હાજી અફઝલ તાત્કાલિક દોડીને પોતાની કારમાં બેઠા અને કાર ઘોઘા સર્કલ તરફ ચલાવી મૂકી પરંતુ, અલ્તાફે કારનો પીછો કર્યો અને હુમલાનો પ્રયાસ ચાલુ રાખ્યો. કોઈ રીતે હાજી અફઝલ સુરક્ષિત બચી ગયા. આ ઘટનાનું કારણ એક વર્ષ પહેલાનો ઝઘડો છે. ફરિયાદ અનુસાર અલ્તાફ ખોખર સાથે હાજી અફઝલની બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેની દાઝ અલ્તાફે હજુ સુધી રાખી હતી અને આજે તેને બદલો લેવાની તક મળી ગઈ. પોલીસે આરોપીને પકડવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરી ઘોઘારોડ પોલીસે આ મામલે અલ્તાફ ખોખર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351(3) (જીવલેણ હુમલાનો પ્રયાસ), 352 (હુમલો અથવા ગંભીર ઈજા પહોંચાડવાનો પ્રયાસ) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને પકડવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ ભાવનગર શહેરમાં ચર્ચાનું વિષય બનાવ્યો છે અને લોકોમાં જૂની અદાવતને કારણે થતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડવાની ખાતરી આપી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 9:54 pm

ગેસના મોંઘા ભાવથી કંટાળી હજારો પરપ્રાંતીયો વતન પરત ફર્યા:ઘરે જતા શ્રમિકોને મદદ ફૂડ વિતરણ કરતા AAP નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ થતા અટકાયત

સુરત શહેર અત્યારે એક અભૂતપૂર્વ ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના વંટોળે સાત સમંદર પાર સુરતના ઉદ્યોગો અને અહીં વસતા લાખો પરપ્રાંતીય શ્રમિકોના રસોડા સુધી માઠી અસર પહોંચાડી છે. ગેસની તીવ્ર અછત અને આસમાને પહોંચેલા ભાવોને કારણે શ્રમિકોનું સામૂહિક પલાયન શરૂ થયું છે, જેની વચ્ચે રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે. ભારતમાં આવતા LPG અને LNG ના જથ્થામાં મોટો કાપ મુકાયોફેબ્રુઆરી 2026ના અંતમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે વૈશ્વિક સપ્લાય ચેઈનને ખોરવી નાખી છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સર્જાયેલા અવરોધોને કારણે ભારતમાં આવતા LPG અને LNGના જથ્થામાં મોટો કાપ મુકાયો છે. ગુજરાત ગેસ અને અદાણી ટોટલ ગેસ જેવી કંપનીઓએ ફોર્સ મેજેર જાહેર કરીને ઔદ્યોગિક પુરવઠામાં 50% થી 60% સુધીનો ઘટાડો કર્યો છે પરંતુ, આ કટોકટીની સૌથી ગંભીર અસર સુરતના ઉધના, પાંડેસરા અને સચિન જેવા વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકો પર પડી છે. શ્રમિકોનો આરોપ છે કે બજારમાં રાંધણ ગેસના નાના સિલિન્ડર મળતા બંધ થયા છે અને કાળાબજારમાં ગેસનો ભાવ 500 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભારે ભીડ જોવા મળી રહી છેછેલ્લા એક અઠવાડિયાથી સુરતના ઉધના અને સુરત મેઈન રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના હજારો શ્રમિકો પોતાના પરિવાર સાથે વતન પરત ફરી રહ્યા છે. શ્રમિકોનું કહેવું છે કે, કામ છે પણ ખાવાનું બનાવવા માટે ગેસ નથી. હોટલોમાં જમવું પરવડતું નથી અને મકાનમાલિકો લાકડા સળગાવવાની મંજૂરી આપતા નથી. ભૂખ્યા રહેવા કરતા વતન જવું બહેતર છે. શ્રમિકોના આ પલાયન વચ્ચે રાજકીય પક્ષો પણ મેદાને ઉતર્યા છે. આમ આદમી પાર્ટીએ માનવતાના ધોરણે શ્રમિકોને મદદ કરવાનું નક્કી કર્યું હતું. સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને પંકજ તાયડેની આગેવાનીમાં રેલવે સ્ટેશનની બહાર ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. AAP નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુંજોકે, આ સેવાકીય પ્રવૃત્તિ વિવાદમાં પરિણમી હતી. શરૂઆતમાં પોલીસે ફૂડ વિતરણ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે AAP નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. નેતાઓની દલીલ હતી કે આ માત્ર સેવા છે, જ્યારે પોલીસનું કહેવું હતું કે તેનાથી સ્ટેશન પરિસરમાં અવ્યવસ્થા સર્જાય છે. છેવટે મંજૂરી મળી, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થતા જ પોલીસે રજનીકાંત વાઘાણી અને પંકજ તાયડેની અટકાયત કરી હતી. આ ઘટનાને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોરોનાકાળમાં કેમ્પેઈન ચલાવી લોકોને સચેત કર્યાઆમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, નોટબંધીના સમયે પણ આમ આદમી પાર્ટીએ લાઈનમાં ઉભેલા લોકોની સેવા કરવાનો પ્રયાસ કર્યો હતો અને સેવા કરી હતી. કોરોના કાળમાં પણ ઓક્સિમીટર કેમ્પેઈન ચલાવી લોકોના ઘરે-ઘરે જઈ લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે ઓક્સિમીટર કેમ્પેઈનથી લોકોનું ઓક્સિજન માપી અને લોકોને સચેત કર્યા હતા. ત્યારબાદ આવેલા કોરોના કાળ એની બીજી લહેરમાં લોકોની કાળજી માટે થઈ આઈસોલેશન સેન્ટર આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં 8 આઈસોલેશન સેન્ટરો ઊભા કરી લોકોની મહાભગીરથ સેવા કરવાનો પ્રયાસ કર્યો. આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે ફૂડ પેકેટ વિતરણ કરવા માટે આવ્યા છીએઆજે ફરી એવું જ એક રાષ્ટ્રીય સંકટ આપણા દેશની અંદર આવી ગયું છે ત્યારે સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા, ટેક્સટાઇલ ઉદ્યોગની જીવાદોરી સમાન, આપણી કરોડરજ્જુ સમાન આ શ્રમિકો ગેસના બાટલાની અછતના કારણે ભાજપ સરકારની અનીતિના કારણે ગેસની જે કટોકટી સર્જાઈ છે એના કારણે આજે શ્રમિકો પરેશાન છે. એમને જમવાની વ્યવસ્થા માટે ગેસની બોટલો નથી મળતી એટલે એ પોતાના વતન ભણી જઈ રહ્યા છે. ત્યારે એમની સેવા કરવાના ભાવ સાથે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ, તમામ નગરસેવકો, સંગઠનની ટીમ આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે ફૂડ પેકેટ વિતરણ કરવા માટે આવ્યા છીએ અને અમે એમની માફી માંગવા આવ્યા છીએ અને એમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે સૌ સુરતના ઉદ્યોગના પ્રાણ છો, કરોડરજ્જુ છો. અમે અમારાથી જેટલી યથાશક્તિ સેવા થઈ શકે એટલા પ્રયાસો કરીએ છીએ. શ્રમિકો પોતાના ઘરે જવા માટે કાલે સાંજથી લાઈન લગાવીને ઉભા છેઆજે ગેસની બોટલ નથી મળતી પણ કાળા બજારિયાઓ પાસે જાવ તો 7000, 8000, 10000માં એક ગેસના બાટલાની બોટલ મળે છે. આ ભાજપ સરકાર કાળા બજારિયાઓની સરકાર હોય એવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે. 6 વર્ષ પહેલાની પરિસ્થિતિ એની એ જ પરિસ્થિતિ આજે છે. તે દિવસે લાઈનમાં ઉભા હતા, નોટબંધી સમયે લાઈનમાં ઉભા છીએ અને આજેય શ્રમિકો પોતાના ઘરે જવા માટે કાલે સાંજથી લાઈન લગાવીને ઉભા છે. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં આ બાજુય તમે જુઓ હજારોની સંખ્યામાં અહીંયા લોકો લાઈન લગાવીને ઉભા છે. અમારાથી થઈ શકે એટલા પ્રયાસો અમે કરી રહ્યા છીએ. લોકોની મદદ માટે આમ આદમી પાર્ટીનો ઉદય થયો અને એ આમ આદમી પાર્ટી આજે ફૂડ વિતરણ કરવાના આશય સાથે, ફૂડ પેકેટ વિતરણ કરવાના આશય સાથે ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી છે. અમે આ શ્રમિકોની માફી માંગીએ છીએ સાથે એમને વિનંતી કરીએ છીએ તમે ભલે આજે જાવ પણ તમે સુરત શહેરની કરોડરજ્જુ છો, આપણા રાષ્ટ્રના સાચા નિર્માતા તમે છો. આ રાષ્ટ્રની અર્થનીતિને એને ગતિ આપવાનું કામ આ શ્રમિકો કરે છે. જો શ્રમિકો જ નહીં બચે તો ઉદ્યોગો બચશે નહીં. તે દિવસે ઉદ્યોગપતિઓને ઇન્જેક્શન, બાટલા, ઓક્સિજનના બાટલા બધું મળતું હતું. આજેય એ અમીરોને બધું મળી રહ્યું છે અને ગરીબો આજે હેરાન પરેશાન છે. ક્યાં સુધી સહીશું? આ પરિસ્થિતિને બદલવી પડશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 9:34 pm

ચીરીપાલ ગ્રુપ દ્વારા ગોટિલા ગાર્ડન ખાતે ઓપન સ્ટ્રીટ ચેસ યોજાઈ:ચેસ સિરીઝની બીજી ટુર્નામેન્ટમાં 200થી વધુ લોકોએ ભાગ લીધો, 13 વર્ષથી નાની વયના તમામ ખેલાડીઓને મેડલથી સન્માનિત કરાયા

ચિરિપાલ ગ્રૂપ દ્વારા સિંધુ ભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન ખાતે ચિરિપાલ ચેસ સીરીઝ 2026ની બીજી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપન સ્ટ્રીટ ચેસ અભિયાનને આગળ વધારવા માટે બિલ્ડીંગની અંદરની જગ્યાએ ખુલ્લી જગ્યામાં ચેસ સિરીઝ યોજવામાં આવી હતી. ચેસને ક્લબની દીવાલમાંથી બહાર લાવવા માટે અને પબ્લિક સુધી લઈ જવા માટે ગોટિલા ગાર્ડનમાં ચેસ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના 200 કરતા વધુ લોકોએ ભાગ લીધો હતો. યુવાનો મોબાઈલનો ઓછી ઉપયોગ કરી ચેસ રમતા થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટૂર્નામેન્ટમાં બાળકો અને મોટી ઉંમરના લોકો સહિત 200થી વધુ ચેસપ્રેમીઓએ ભાગ લીધો હતોતમામ વયજૂથના લોકો ચેસ રમવા તરફ પ્રેરાય તે માટે ચેસ સિરીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચેસ સિરીઝની બીજી ટૂર્નામેન્ટમાં નાના બાળકો અને મોટી ઉંમરના લોકો સહિત 200થી વધુ ચેસપ્રેમીઓએ ભાગ લીધો હતો. રમતને લોકોની નજીક લાવી અને યુવા તેમજ પ્રથમવાર રમી રહેલા ખેલાડીઓ ભાગ લેવા માટે પ્રેરિત થાય તે માટે પબ્લિક પ્લેસ પર ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. તેમાં નાની ઉંમરના લોકો પોતાની પ્રતિભા બતાવવા માટે મોટી ઉંમરના લોકો સાથે પણ ચેસ રમતા જોવા મળ્યા હતા. આ સીરીઝમાં ભાગ લેનારા 13 વર્ષથી નાની વયના તમામ લોકોને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં વધુ લોકોમાં ચેસ રમવા માટેની રુચિ વધે તે માટે ખાસ આયોજન કરાયુંચિરિપાલ ગ્રુપના હેડ આનંદ ઐયરે જણાવ્યું હતું કે, ચિરિપાલ ચેસ સિરીઝની બીજી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 200 કરતા વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે તમામ લોકો ભાગ લઈ રહ્યા છે. ચિરિપાલ ચેસ સિરીઝ એટલા માટે શરૂ કરવામાં આવી છે કે અમારો ઉદ્દેશ ચેસને તમામ નાગરિક સુધી પહોંચાડવાનો છે. તેમજ સ્પેશ્યિલ યુવાનો સુધી તેને પહોંચાડવા માંગીએ છીએ. ચેસ રમવા સ્ટ્રેટેજી લાગે છે, જેથી ઘણી બધી લાક્ષણિકતા યુવાનોમાં આવી જાય છે. ચેસને ક્લબની દીવાલથી આઝાદ કરીને ખુલ્લી જગ્યામાં અને પબ્લિક પ્લેસમાં લાવવા માટે ગાર્ડનમાં આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં વધુ લોકો ચેસ રમવા માટેની રુચિ વધે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નાનાથી લઈને મોટા સુધીમાં લોકોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 9:30 pm

સુરતમાં તરબૂચની આડમાં વિદેશી દારુની તસ્કરી, VIDEO:પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોનો કીમિયો ફેઈલ, ક્રાઈમ બ્રાન્ચે પીકઅપ ડાલામાંથી 8.48 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. સુરતમાં પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ તરબૂચ ભરેલા વાહનનો સહારો લીધો હતો, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની બાજ નજરથી તેઓ બચી શક્યા નહોતા. પુના કુંભારીયા વિસ્તારમાં પોલીસે એક બોલેરો પીકઅપને આંતરી તપાસ કરતા ઉપર તરબૂચ અને નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીસુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની એક બોલેરો પીકઅપ ગાડીમાં તરબૂચની આડમાં વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પુના કુંભારીયા વિસ્તારના કાંગારુ સર્કલ પાસે બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. તરબૂચ હટાવતા જ પોલીસ દંગ રહી ગઈપ્રાથમિક તપાસમાં ગાડીમાં માત્ર તરબૂચ જ દેખાતા હતા. પરંતુ જ્યારે પોલીસે શંકાના આધારે ઉપરથી તરબૂચ હટાવવાનું શરૂ કર્યું, ત્યારે નીચેથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા માટે આખું પ્લેટફોર્મ એવી રીતે તૈયાર કર્યું હતું કે કોઈને શંકા પણ ન જાય. પોલીસે વિદેશી દારૂ અને બિયરની 50 પેટી (કિંમત ₹4.88 લાખ), બોલેરો પીકઅપ ગાડી (3.50 લાખ), મોબાઈલ ફોન (10,000)મળી કુલ 8.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રાજસ્થાનનો રીઢો ગુનેગાર ઝડપાયોપોલીસે આ મામલે રાજુ ઉર્ફે લુહાર ઉર્ફે રાજુલાલ (ઉં.વ. 38), રહે. ઝાલાવાડ, રાજસ્થાનની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે રાજુ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે અને લાંબા સમયથી દારૂના હેરાફેરીના નેટવર્ક સાથે જોડાયેલો છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે દારૂનો આ જથ્થો કોણે મંગાવ્યો હતો? રાજસ્થાનથી કયા રૂટ પરથી દારૂ સુરત લાવવામાં આવ્યો? આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે? ક્રાઈમ બ્રાન્ચે હાલ આરોપી સામે ગુનો નોંધી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી શહેરમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના વધુ એક પેંતરાનો પર્દાફાશ થયો છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 9:27 pm

રાજુલા નજીક ચાલુ કારમાં ભીષણ આગ:કડિયાળી ગામ પાસે ભૂંડ આડે આવતા ઈમરજન્સી બ્રેક મારતા દુર્ઘટના, ચાલકનો બચાવ

અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના કડિયાળી ગામ પાસે એક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. સદનસીબે, કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકાપ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પરથી એક કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડ પર એક ભૂંડ (પશુ) આડે આવ્યું હતું. પશુને બચાવવા માટે કાર ચાલકે પૂરઝડપે જતી કારમાં ઈમરજન્સી બ્રેક લગાવી હતી. બ્રેક માર્યાના થોડી જ ક્ષણોમાં કારમાં કોઈ ટેકનિકલ ખામી અથવા ઇલેક્ટ્રિક સ્પાર્કિંગ થવાને કારણે બોનેટના ભાગેથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે હાઈવે પર પસાર થતા અન્ય વાહન ચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને ફાયર ફાઈટરોની કામગીરીઘટનાની જાણ થતા જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના PSI કે.ડી. હડિયા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સુરક્ષાના ભાગરૂપે અન્ય વાહનોને સુરક્ષિત અંતરે રોકી દઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ સાથે જ રાજુલા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જાનહાનિ ટળી, કાર ખાખઆ અકસ્માત સમયે કારમાં માત્ર ચાલક જ સવાર હતો, જે સમયસર ઉતરી જવામાં સફળ રહ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે હાલ આ મામલે પ્રાથમિક અહેવાલ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 9:13 pm

દેવભૂમિ દ્વારકામાં 3 બુટલેગરો સામે PASA કાર્યવાહી:જિલ્લા કલેક્ટરે વોરંટ મંજૂર કરતા અલગ જેલમાં ખસેડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જયરાજસિંહ વાળાની સૂચના હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા 3 પ્રોહીબિશન બુટલેગરો વિરુદ્ધ પાસા (PASA) એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત LCB ઇન્સ્પેક્ટર બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારીએ જિલ્લાના નામચીન ગુનેગારોની વિગતો એકત્ર કરી હતી. આ બુટલેગરોની સતત વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાને રાખી તેમની વિરુદ્ધ પાસા હેઠળ અટકાયત કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ દરખાસ્તને મંજૂરી આપી અટકાયત વોરંટ જારી કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ ઝડપાયા વોરંટ છૂટતા જ LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓને વિવિધ જેલોમાં ખસેડવામાં આવ્યા છે: ઉમેદસિંહ ઉર્ફે અનીયો શીવુભા વાઢેર (રહે. ભીમરાણા): પાલનપુર (બનાસકાંઠા) જિલ્લા જેલ. પૃથ્વીરાજસિંહ ઉર્ફે ઋષીરાજસિંહ કારૂભા વાઢેર (રહે. ભીમરાણા): પાલારા ખાસ જેલ (ભુજ-કચ્છ). રાજુ કરશન કોડીયાતર (રહે. રાણપર, તા. ભાણવડ): ભાવનગર જિલ્લા જેલ. સંયુક્ત ઓપરેશનની સફળતા આ સમગ્ર ઓપરેશનમાં LCB પીઆઈ બી.જે. સરવૈયા, એડીશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભુપેશ જોટણીયા, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલિયા સહિત કલેક્ટર કચેરી અને પોલીસ સ્ટાફ જોડાયો હતો. અસામાજિક તત્વોમાં ફાળ પડે અને શાંતિ જળવાય તે હેતુથી લેવાયેલા આ પગલાની જિલ્લાભરમાં ચર્ચા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 8:46 pm

વેરાવળમાં PGVCLનો પાવર સપ્લાય આવતીકાલે બંધ રહેશે:સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વીજકાપની અસર

વેરાવળ શહેરમાં PGVCL દ્વારા વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 23 માર્ચ, સોમવારે સવારે 9:00 થી બપોરના 2:00 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળી બંધ રહેશે. આ નિર્ણય અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની અને મેન્ટેનન્સ કામગીરીને કારણે લેવામાં આવ્યો છે. 11 કેવી વિદ્યુત નગર ફીડર હેઠળ આવતા 60 ફૂટ રોડ, વ્રજ કોલોની 66kV પાછળનો એરિયા, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, દેવ પાર્ક રોડ, સરદાર સોસાયટી, વાણંદ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ, ગોલારાણા, પંચવટી વિસ્તાર, ગીતાનગર -2, શ્રીપાલ સોસાઈટી, હવેલી પાછળનો એરિયા, સમૃદ્ધ પાર્ક, મહીલા કોલેજ રોડ, ગંગાનગર રોડ, વૃજ રેસીડેન્સી જાગનાથ નગર, શ્રી શ્રી પાર્ક સાઈધામ સોસાઈટી અને ગોકુલ ધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર ડી.ડી. ડોડીયા એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જરૂરી મેન્ટેનન્સ કામ અને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ફિટિંગનું કામ કરવાનું હોવાથી વીજ પુરવઠો બંધ રાખવો અનિવાર્ય બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો નિર્ધારિત સમય મર્યાદા પહેલા કામ પૂર્ણ થઈ જશે, તો કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 8:44 pm

વલસાડના પાનેરા ગામે 108 કુંડી નવચંડી યજ્ઞ:શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વૃક્ષમાં સ્વયંભૂ માતાજીની મૂર્તિની માન્યતા

વલસાડ તાલુકાના પાનેરા ગામમાં આવેલા વર્ષો જૂના કાલિકા માતાના મંદિરના પટાંગણમાં ભવ્ય 108 કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં 108 થી વધુ દંપતીઓએ આહુતિ આપી હતી. ગામની સુખાકારી અને લોક કલ્યાણના હેતુથી આ યજ્ઞ યોજાયો હતો. આયોજક ધીરુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ યજ્ઞની પ્રેરણા પાંચ વર્ષ પહેલા તુષારભાઈ પટેલને મળી હતી. ત્યારથી દર વર્ષે આ યજ્ઞનું આયોજન થાય છે અને તેમાં જોડાતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પણ નિર્ધારિત સંખ્યા કરતા વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. મંદિરનો ઇતિહાસ પણ ઘણો રોચક છે. ગ્રામજનોની માન્યતા અનુસાર, મંદિરની બાજુમાં આવેલા એક ઘટાદાર વૃક્ષમાં વર્ષો પહેલા માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. આ ચમત્કારિક મૂર્તિ પ્રત્યે લોકોમાં અતૂટ શ્રદ્ધા છે. આ કાલિકા માતાનું મંદિર સેંકડો વર્ષ જૂનું હોવાનું મનાય છે. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યોજાયેલા આ યજ્ઞમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉમેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે, ચૈત્ર માસમાં માતાજીની ઉપાસનાનું વિશેષ મહત્વ હોય છે. રાષ્ટ્રની ઉન્નતિ, વિશ્વમાં શાંતિ અને સમાજનું કલ્યાણ થાય તેવા ઉમદા હેતુથી આ યજ્ઞ સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 8:30 pm

વલસાડમાં 28.60 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ:અત્યાધુનિક રૂરલ પોલીસ સ્ટેશન અને આવાસો કાર્યરત થયા

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતથી વલસાડ જિલ્લાના 28.60 કરોડના ખર્ચે નિર્મિત પોલીસ વિભાગના નવા પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કર્યું છે. આ પ્રકલ્પોમાં નવું વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન અને વિવિધ પોલીસ આવાસોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ રૂરલ પોલીસ મથક અગાઉ શહેરના ગીચ વિસ્તારમાં નાની જગ્યામાં કાર્યરત હતું, જેના કારણે પોલીસ કર્મચારીઓ અને અરજદારોને મુશ્કેલી પડતી હતી. હવે આ પોલીસ સ્ટેશન લીલાપોર ખાતે હાઈવે નજીક વિશાળ અને સુવિધાસજ્જ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યું છે. આ જિલ્લાનું સૌથી મોટું અને અત્યાધુનિક પોલીસ સ્ટેશન બન્યું છે. આ લોકાર્પણ સમારોહમાં પોલીસ જવાનોના પરિવાર માટે નવા આવાસોનો પણ સમાવેશ થાય છે. વલસાડ રૂરલ પોલીસ લાઈનમાં B-ટાઈપના 40 અને C-ટાઈપના 2 મકાનો, જ્યારે ડુંગરા પોલીસ સ્ટેશન (વાપી) ખાતે B-ટાઈપના 48 અને C-ટાઈપના 12 મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વલસાડમાં E-ટાઈપનું એક નવું મકાન પણ બનાવવામાં આવ્યું છે. વલસાડના જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નવું બિલ્ડિંગ હાઈવેથી નજીક હોવાથી ગ્રામ્ય વિસ્તારની જનતાને સરળતા રહેશે. આધુનિક સુવિધાઓથી પોલીસની કામગીરીમાં પણ ઝડપ આવશે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે ઉમેર્યું હતું કે, “વર્ષ 2022માં લીલાપોર ખાતે 3 એકર જમીન ફાળવવામાં આવી હતી, જેનું આજે લોકાર્પણ થયું છે. હવે પોલીસ જવાનો ગીચ વિસ્તારમાંથી મુક્ત થઈ શાંત વાતાવરણમાં વધુ સારી રીતે સેવા આપી શકશે.” વલસાડ જિલ્લાના પોલીસ બેડામાં આ નવા અને આધુનિક સંકુલથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 8:17 pm

જૂના ઝઘડાનો ખાર રાખી સગીરને છરીના ઘા માર્યા:રાજકોટમાં મોટાભાઈ સાથેની માથાકૂટમાં નાના ભાઈ પર 2 શખ્સોનો હૂમલો : સજાના વોરંટનો આરોપી ઝડપાયો

રાજકોટમાં જૂના ઝઘડામાં સગીર પર 2 શખ્સોએ છરીથી હૂમલો કર્યાની ઘટના સામે આવી છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં મોટાભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી તેના ઘરે જતા નાનો ભાઈ હાજર હોય તેને છરીના ઘા મારી ફરાર થઈ જતા બંને શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. શહેરના ભગવતીપરા શેરી નં.11 માં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ ભોજૈયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં અલ્ફાજ અને જાવિદ ઉર્ફે જાવલો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પુત્ર આયુષ સાથે જાવીદને ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી બંને શખ્સો 21 માર્ચના રાત્રિના ચાકુ લઈ ઘરે આવ્યા હતા. તે વખતે 17 વર્ષીય પુત્ર કરણ ઘરે હતો. જેથી જાવિદે કરણને પકડી રાખ્યો હતો અને અલ્ફાજે પેટની ડાબી બાજુના પડખાના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જે બાદ તેના ડાબા પગના સાથળના ભાગે પણ છરી મારી દીધી હતી. જેથી ઇજાગ્રસ્ત હાલતમાં પુત્ર કરણને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે BNS ની કલમ 109(1), 352, 333, 54 તથા GP એક્ટ 135 મૂજબ ગૂનો નોંધી હૂમલો કરતા બંને શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ કિસ્સાથી ખૂલ્લેઆમ છરી સાથે ફરી આતંક મચાવતા શખ્સો પર પોલીસની ધાક ઓછી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સજાના વોરંટનો આરોપી 4 માસથી ફરાર હતો, પોલીસે ઝડપી પાડ્યો રાજકોટ કોર્ટના નેગોશીએબલ એકટના ગુન્હામાં સજાના વોરંટના આરોપીને એસ્ટ્રોન ચોક પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. મૂળ રાજકોટના અને હાલ મહેસાણામાં રહેતો આરોપી રાઘવેન્દ્ર પ્રજાપતી છેલ્લા 4 મહીનાથી સજાના વોરંટની બજવણીથી બચવા માટે નાસતો ફરતો હતો. જોકે ભક્તિનગર પોલીસે આ આરોપીને બાતમીના આધારે એસ્ટ્રોન ચોક પાસેથી ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 8:13 pm

ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું ક્રાઈમ બ્રાન્ચે કરી કાર્યવાહી:લોયેજ ગામે ત્રણ દિવસથી ક્રાઈમ બ્રાન્ચે 400 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપી પાડ્યો,ફૂડ વિભાગના અધિકારીએ કહ્યું ફૂડ ઇન્સ્પેક્ટર કાલ કે પરમ દિવસે તપાસમાં જશે

જૂનાગઢ જિલ્લામાં નકલી ખાદ્ય પદાર્થોનું નેટવર્ક વકર્યું છે ત્યારે ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માંગરોળ તાલુકાના લોએજ ગામેથી આશરે 400 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો લાખોની કિંમતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોવાની આશંકા છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ કાર્યવાહીના ત્રણ-ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં જૂનાગઢનું ફૂડ વિભાગ હજુ સુધી તપાસ સ્થળે પહોંચવાની તસ્દી સુદ્ધાં લીધી નથી. પોલીસ વિભાગે પોતાનું કામ કરીને શંકાસ્પદ ઘી નો જથ્થો પકડી પાડ્યો છે, પરંતુ ટેકનિકલ તપાસ અને સેમ્પલિંગની જવાબદારી જે વિભાગની છે તે ફૂડ વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આ ગંભીર બેદરકારી અંગે જ્યારે જૂનાગઢ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દવે સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના જવાબોએ આશ્ચર્ય સર્જ્યું હતું. શરૂઆતમાં તેમણે આ ઓપરેશન અંગે કોઈ માહિતી જ ન હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા હતા. ત્યારબાદ લૂલો બચાવ કરતા જણાવ્યું કે, વિભાગ પાસે માત્ર એક જ ફૂડ ઇન્સ્પેક્ટર છે અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી વીઆઈપી પ્રોટોકોલની ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી લોએજ જઈ શક્યા નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લાખોની કિંમતનો અખાદ્ય જથ્થો પકડાયો હોય ત્યારે વિલંબ કેમ? ત્યારે અધિકારીએ કહ્યું કે જો ફૂડ ઇન્સ્પેક્ટર ફ્રી ન હોય તો અમે શું કરીએ ? તે ફ્રી ન હોય તો ત્યાં કેવી રીતે જાય ? ત્યારે અધિકારીના આવા જવાબો એ લોકોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે લોએજમાં જ્યાં ઘીનો જથ્થો પકડ્યો છે ત્યાં પોલીસ જવાનોને તેના રક્ષણ માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે, પરંતુ ફૂડ વિભાગના વિલંબને કારણે આગળની કાયદેસરની કાર્યવાહી અટકી પડી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું ફૂડ વિભાગ આ કાળા કારોબારના આકાઓને બચાવવા માટે જાણીજોઈને સમય બગાડી રહ્યું છે ? ત્રણ દિવસનો આ સમયગાળો મુખ્ય આરોપીઓને પોતાની પુરાવાઓ સગેવગે કરવાની કે ભૂગર્ભમાં ઉતરી જવાની તક આપી રહ્યો હોવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી. અગાઉ કાળવા ચોકમાંથી દૂધનું ટેન્કર અને કેશોદમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો પણ પોલીસે જ પકડવો પડ્યો હતો, જે ફૂડ વિભાગના અસ્તિત્વ સામે જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે આ મામલે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે માંગરોળના લોએજ ગામેથી ઝડપેલા 400 કિલો શંકાસ્પદ ઘી અંગે ફૂડ વિભાગને લેખિત અને મૌખિક બંને રીતે જાણ કરી દીધી છે. કાયદાકીય રીતે આ જથ્થાના નમૂના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા લેવામાં આવે અને લેબોરેટરીમાં મોકલવામાં આવે તે અનિવાર્ય છે. જ્યાં સુધી ફૂડ વિભાગ આ પ્રક્રિયા પૂર્ણ ન કરે ત્યાં સુધી પોલીસ આગળની અન્ય કાર્યવાહી કરી શકતી નથી. જ્યારે ફૂડ વિભાગની આળસને કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે 'કાલ કે પરમ દિવસ'નો વાયદો કરનાર ફૂડ વિભાગ ક્યારે જાગે છે અને આ નકલી ઘીના કાળા વ્યવસાયનો પર્દાફાશ થાય છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 8:11 pm

સચિન-નવસારી હાઈવે પર ટ્રાફિકમાંથી મુક્તિ:સતવલ્લા બ્રિજ ખુલ્લો મુકાયો, સી. આર. પાટીલે હસ્તે રૂ.125 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

આધુનિક અને સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ છેડે આવેલા સચિન અને આસપાસના વિસ્તારોના કાયાપલટ માટે આજે 22 માર્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના વરદ હસ્તે અંદાજે 125 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીલે સુરતની ભાવિ આયોજનો વિશે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. સુરતથી સચિન થઈ નવસારીને જોડતા અત્યંત વ્યસ્ત સ્ટેટ હાઈવે પર વાહનચાલકોને વર્ષોથી ટ્રાફિકની સમસ્યા નડતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે ઓવરબ્રિજનું 35.39 કરોડના ખર્ચે વાઈડનિંગ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનુ આજે સી. આર. પાટીલ દ્વારા લોકાર્પણ કરાતા હવે સુરત-નવસારી વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે અને ઈંધણ તેમજ સમયની બચત થશે. ઉધના ત્રણ રસ્તા જંક્શન પર ફ્વાયઓવર બનશેવધુમાં, ઉધના ત્રણ રસ્તા જંક્શન અને સર્વોત્તમ હોટેલ જંક્શન જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં નવા ફ્લાયઓવર બનાવવાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર સચિન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જતા માલવાહક વાહનો અને મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નવા વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરાયુંસી. આર. પાટીલ દ્વારા 99.12 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પો જનતા માટે ખુલ્લા મુકાયા અને 80.17 કરોડના ખર્ચે આગામી સમયમાં થનારા નવા વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરાયું છે. પાલી વિસ્તારમાં તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને કનકપુર હાઉસિંગ બોર્ડ સીઓપી નં. 4 પાસે ડ્રાફ્ટ ટીપી સ્કીમ 34માં આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્રથી સ્થાનિક શ્રમિક પરિવારોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહેશે. સતવલ્લા બ્રિજથી રામજી મંદિર સુધીના રસ્તામાં લાઈટો નખાશેસચિન ઝોનમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે કનસાડ વોર્ડ ઓફિસ પાસે શાળા નં. 294 અને 372 માટે નવા આધુનિક શાળા ભવનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ શાળાઓમાં બાળકોને ડિજિટલ શિક્ષણની સુવિધા પણ મળશે. તેમજ, ડ્રાફ્ટ ટીપી નં. 59ના પ્લોટ નં. 214માં શાંતિકુંજ બગીચાનું નિર્માણ કરાશે, જે સિનિયર સિટીઝન્સ અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાંજના સમયે રાહદારીઓની સલામતી માટે સતવલ્લા બ્રિજથી રામજી મંદિર સુધીના માર્ગ પર હાઈ-ટેક સ્ટ્રીટ લાઈટની સુવિધા માટેનું ખાતમુહૂર્ત પણ પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરત મનપાનું નવું બિલ્ડિંગ વિશ્વની સૌથી ઊંચી મનપાની ઈમારત હશેજનમેદનીને સંબોધતા સી. આર. પાટીલે સુરતના ભવિષ્યના રોડમેપ વિશે ઉત્સાહજનક વાતો કરી હતી. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે, સુરતને હંમેશા પ્રથમ એવોર્ડ લેવાની ટેવ પડી ગઈ છે. પછી તે સ્વચ્છતા હોય કે વોટર મેનેજમેન્ટ. સુરત મહાનગરપાલિકાનું નવું બિલ્ડિંગ વિશ્વની સૌથી ઊંચી મહાનગરપાલિકાની ઈમારત હશે. સુરતને 28 માળનું ભવ્ય મીની સચિવાલય મળશે, જ્યાંથી તમામ વહીવટી કામગીરી એક જ છત નીચે થશે. આ મીની સચિવાલયમાં એકસાથે 5000 વાહનો પાર્ક થઈ શકે તેવી અત્યાધુનિક વ્યવસ્થા હશે, જે સમગ્ર ભારતમાં મ્યુનિસિપલ કક્ષાએ પ્રથમ હશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 7:53 pm

ચાલુ વાનનો દરવાજો ખુલતા વૃદ્ધ ફંગોળાયા:શહેરા નજીક 64 વર્ષીય વ્યક્તિનું ગંભીર ઇજાથી મોત, મામાના ઘરેથી પરત ફરતા સમયે અકસ્માત

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી નજીક એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ચાલુ મારુતિ વાનનો દરવાજો અચાનક ખુલી જતાં 64 વર્ષીય વૃદ્ધ નીચે ફંગોળાઈ ગયા હતા, જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના શહેરાના બોરિયાવી-નાડા રોડ પર બની હતી. વાનમાં સવાર વૃદ્ધ નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. મૃતક વૃદ્ધની ઓળખ ડુમેલાવ ગામના વતની સાલમભાઈ માલીવાડ તરીકે થઈ છે. તેઓ બોરિયાવી ગામે તેમના મામાના ઘરે સંબંધીને મળવા ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. સમગ્ર મામલે શહેરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 7:26 pm

મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ:શહેરમાં 63 યુનિટ રક્ત સંગ્રહ, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું

તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ ઉત્તર દ્વારા તેરાપંથ ભવન, મોટેરા ખાતે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ (એમબીડીડિ) અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (એબિટીવાયપી)ના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. કેમ્પમાં યુવાનો અને મહિલાઓનો ઉત્સાહપૂર્ણ સહભાગ રહ્યો અને કુલ 63 યુનિટ રક્ત સંગ્રહ કરવામાં આવ્યું। આ પહેલનો મુખ્ય હેતુ સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાનો અને માનવ સેવા માટે પ્રેરિત કરવાનો હતો. તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ ઉત્તરનાં પ્રમુખ દિલીપ ભંસાલીએ જણાવ્યું કે રક્તદાન જીવન બચાવતું પવિત્ર કાર્ય છે અને યુવાઓની સક્રિય ભાગીદારી સમાજ માટે પ્રેરણાદાયક છે.આ પ્રસંગે જૈન શ્વેતાંબર તેરાપંથી સભા તેમજ તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ ઉત્તરનાં સભ્યો સહિત અનેક આગેવાનો હાજર રહ્યા અને આયોજનની પ્રશંસા કરી. મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ (એમબીડીડિ), અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, જે ભારતને રક્ત ઉપલબ્ધતામાં આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે અને સંસ્થાએ એક જ દિવસે 1 લાખથી વધુ યુનિટ રક્ત સંગ્રહ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 7:09 pm

સુરેન્દ્રનગરમાં મિલેટ ખિચડી બન્યું આકર્ષણનું કેન્દ્ર.:ઝાલાવાડવાસીઓ જંક ફૂડ છોડી સ્વાસ્થ્યવર્ધક આહાર અપનાવી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત 'મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ'માં મિલેટ ખિચડી લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. ઝાલાવાડના નાગરિકો જંક ફૂડ છોડીને પોષણથી ભરપૂર અને પરંપરાગત મિલેટ ખિચડીનો હોંશભેર આસ્વાદ માણી રહ્યા છે. જુવાર, બાજરી અને રાગી જેવા 'શ્રી અન્ન'ના સંગમથી બનેલી આ ખિચડીને 'સ્વાસ્થ્યનું અમૃત' માનવામાં આવે છે. આ માર્કેટમાં 'અનુબંધ' સંસ્થા સાથે સંકળાયેલા ભૂમિ ઝાલા અને નીલમ વાળા દ્વારા સંચાલિત મિલેટ ખિચડીના સ્ટોલે મુલાકાતીઓને આકર્ષ્યા છે. ભૂમિ ઝાલાના જણાવ્યા અનુસાર, આ ખિચડીમાં જુવાર, બાજરી અને રાગી જેવા વિવિધ મિલેટ્સનો ઉપયોગ થાય છે, જે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. ગ્લુટેન-મુક્ત હોવાથી તે પાચન માટે હળવી છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખિચડી સાથે ઠંડી છાસ અને તાજું સલાડ પણ પીરસવામાં આવે છે, જે તેને સંપૂર્ણ અને સંતુલિત આહાર બનાવે છે. આ કાર્યક્રમ 'મેદસ્વિતામુક્ત ભારત અભિયાન'નો પણ એક ભાગ બની રહ્યો છે. વર્તમાન સમયમાં પિઝા, બર્ગર અને પેકેજ્ડ ફૂડના અતિરેકને કારણે નવી પેઢીમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. મિલેટ્સમાં ભરપૂર ફાઈબર હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને શરીરમાં બિનજરૂરી ચરબી જમા થતી અટકાવે છે. આ આહાર પદ્ધતિ અપનાવવાથી શરીર સ્ફૂર્તિલું બને છે અને મેદસ્વિતા સામે લડવામાં મદદ મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાત સરકાર 'શ્રી અન્ન'ના પ્રચાર-પ્રસાર અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સક્રિય છે. રાજ્ય સરકાર ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિવિધ સહાય અને તાલીમ પૂરી પાડી રહી છે. 'મિલેટ મિશન' અંતર્ગત આવા ફાર્મર માર્કેટ્સનું આયોજન કરીને સરકાર ખેડૂતોને સીધું બજાર પૂરું પાડે છે અને નાગરિકોને ઝેરમુક્ત આહાર ઉપલબ્ધ કરાવે છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં મિલેટ્સના વાવેતર અને તેના વપરાશને જન-આંદોલન બનાવવા સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યા છે, જેથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને અને શહેરી જનતાનું સ્વાસ્થ્ય જળવાય. 'અનુબંધ' સંસ્થા દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ માત્ર વેચાણ પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક સરાહનીય લોક-અભિયાન છે. ઝાલાવાડના નાગરિકો જે રીતે ઉત્સાહભેર આ પ્રાકૃતિક વાનગીનો સ્વાદ માણી રહ્યા છે, તે દર્શાવે છે કે લોકો હવે સ્વાસ્થ્ય બાબતે સભાન બન્યા છે. 'શ્રી અન્ન'ના મહત્વને સ્વીકારીને અને જંક ફૂડનો ત્યાગ કરીને આપણે સૌ એક મજબૂત અને રોગમુક્ત સમાજ તરફ ડગ માંડી રહ્યા છીએ. ચાલો, આ પહેલથી પ્રેરાઈને આપણે પણ આપણા રોજિંદા ભોજનમાં મિલેટ્સનો સમાવેશ કરીએ અને આવનારી પેઢીને તંદુરસ્ત વારસો આપીએ.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 7:03 pm

ઉમરગામના ખતલવાડમાં વિવા કંપનીના યુનિટમાં ભીષણ આગ:શેડ અને મશીનરી સાથે રો મટીરીયલ અને તૈયાર માલ બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

ઉમરગામ તાલુકાના ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી વિવા કંપનીના યુનિટ નંબર-2માં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કંપનીના શેડમાં રાખેલ રો મટીરીયલ અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે મશીનરીને પણ ભારે નુકસાન થયું હતું. સદનસીબે, સમયસર કામદારો બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કંપનીના શેડના પતરા તૂટીને હવામાં ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળેથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા આશરે ચાર કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા, જે આગની ભયાવહતા દર્શાવે છે. આગની જાણ થતા જ ઉમરગામ નોટિફાઇડ, ઉમરગામ નગરપાલિકા ફાયરની ટીમ તેમજ સરીગામ GIDCના ફાયર ફાઇટરો ફાયર બ્રાઉઝર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સુરક્ષાના ભાગરૂપે પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે લોકોની ભીડને દૂર ખસેડી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અંદાજ મુજબ, આ ભીષણ આગમાં કંપનીના સેડ, મશીનરી અને મટીરીયલને મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 7:00 pm

વડોદરાની રણોલી GIDCની કંપનીમાં ચોરી:1 લાખ રૂપિયાની કિંમતના એલ્યુમિનિયમ ફોઈલના રોલની ચોરી, બિઝનેસમેને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના રણોલી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીને નિશાન બનાવી તસ્કરો અંદાજે 200 કિલોગ્રામ એલ્યુમિનિયમ ફોઈલના રોલ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે 78 વર્ષીય બિઝનેસમેને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ન્યૂ સમા રોડ પર ચાણક્યપુરીમાં રહેતા બિઝનેસમેન જયંતિલાલ છગનલાલ શાહ (ઉ.વ. 78) રણોલી GIDCમાં 'પારસ એન્ટરપ્રાઇઝ' નામની કંપની ધરાવે છે. તેમની કંપનીમાં એલ્યુમિનિયમ ફોઈલ પર લેમિનેશન અને પ્રિન્ટિંગ કરી ફાર્મા કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ગત તારીખ 18 માર્ચના રોજ સાંજે 6 વાગ્યે જયંતિલાલ ઓફિસ બંધ કરીને ઘરે ગયા હતા.બીજા દિવસે એટલે કે 19 માર્ચના રોજ સવારે જ્યારે તેઓ કંપની પર પહોંચ્યા, ત્યારે મેનેજર અનિલ પરમારે જાણ કરી હતી કે કંપનીના ગેટ પાસે આવેલા પતરાના ખુલ્લા શેડમાં રાખેલો સામાન ગાયબ છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અલગ-અલગ સાઈઝના 20થી 21 નંગ એલ્યુમિનિયમ ફોઈલના રોલની ચોરી થઈ છે. ચોરી થયેલા મુદ્દામાલનું વજન અંદાજે 200 કિલોગ્રામ હતો. જેની બજાર કિંમત 1 લાખ રૂપિયા છે. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં મુદ્દામાલ ન મળી આવતા જયંતિલાલ શાહે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:54 pm

બોટાદ: મોહન લખાણી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા:જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરને કોંગ્રેસ પ્રમુખે આવકાર્યા

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર અને ટાટમ સેવા સહકારી મંડળીના ઉપપ્રમુખ મોહનભાઈ લખાણીએ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. મોહનભાઈ લાખાણીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયા અને જિલ્લા પ્રભારી વલ્લભભાઈ જીજુવાડીયાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહનભાઈના પક્ષપલટાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મોહનભાઈ લખાણીએ જણાવ્યું કે તેઓ છેલ્લા પંદર વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. જોકે, સતત અવગણના થતી હોવાથી તેમણે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:45 pm

યુદ્ધના કારણે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ઉદ્યોગ પર ગંભીર અસર:કન્ટેનર અટવાતા એક્સપોર્ટરોને કરોડોની નુકશાની, કોંગ્રેસે એક્સપોર્ટરો માટે સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી

ઈરાન ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના કારણે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ઉદ્યોગ ઉપર ગંભીર આફત આવી પડી છે. એક્સપોર્ટરોને કરોડોનું નુકશાન થયું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ ઉપર 500 કન્ટેનર અટવાયા છે. જેને પાછા બેક ટુ ટાઉન લાવવા માટેનો અંદાજે 275 કરોડનો ખર્ચ એક્સપોર્ટરોને થવાનો છે તેમજ રેફરીજરેશન પ્લગીંગની વ્યવસ્થાના હોવાના લીધે નાશવંત માલ બગડી ગયો હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. કેરીના વેપારીઓ અને ગારમેન્ટ ઉદ્યોગના એક્સપોર્ટરોને નુકસાન થયું હોવાથી સહાય પેકેજ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી છે. તદુપરાંત કન્ટેનર રિટર્ન લાવવાનો ચાર્જ પણ માફ કરવા કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે. કન્ટેનરોને પાછા ભારત લાવવા 275 કરોડનો ખર્ચ એક્સપોર્ટરોને કરવો પડી રહ્યો છેકોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, ઈરાન ઈઝરાયેલ અમેરિકા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વનો વેપાર કટોકટીની સ્થિતિમાં મુકાઈ ગયો છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટના ઉદ્યોગ ઉપર ગંભીર આફત આવી પડી છે. યુદ્ધની સ્થિતિના લીધે યુ.એ.ઇના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ ઉપર દક્ષિણ એશિયાઈ દેશોના 29000થી વધુ કન્ટેનર અટવાઈ પડ્યા છે. જેમાં ભારતના 5500 વધુ કન્ટેનરો છે. જો પરત લાવવામાં આવે તો એક કન્ટેનર માટે 5 લાખ જેટલો ખર્ચ થઈ રહ્યો છે. કન્ટેનરોને પાછા ભારત લાવવામાં આવે તો તેનો ખર્ચ 275 કરોડ એક્સપોર્ટરોને કરવો પડી રહ્યો છે. બટાકા, તરબૂચ, માછલી, સી ફૂડ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ જેવી નાશવંત કોમોડિટી એક્સ્પોર્ટ કરે છે. ખોરફક્કન પોર્ટ ઉપર 800થી વધુ રીફર કન્ટેનરો એટલે રેફ્રિજરેટેડ કન્ટેનરો ઉતારી દેવામાં આવ્યા છે. જે કન્ટેનરોને ઠંડા રાખવા માટે ઇલેક્ટ્રિક પ્લગ્સની વ્યવસ્થાની જરૂર હોય છે ત્યારે તે પોર્ટની કેપેસિટી ઓછી હોવાથી પોર્ટ ઉપર માત્ર 120 જેટલા પ્લગ્સ ઉપલબ્ધ છે ત્યારે તે પોર્ટ પર નાશવંત માલ સંપૂર્ણ સડી કે બગડી જાય એવી પરિસ્થિતિમાં છે. યુદ્ધ લંબાશે તો કેરીના એક્સ્પોર્ટ પર ગંભીર અસર કરશેવધુમાં ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, ઈદના સમયે અમદાવાદ અને સુરતના ગારમેન્ટ કપડા ઉદ્યોગ ગલ્ફ દેશો જોડે 1500 કરોડનો વેપાર કરે છે. યુદ્ધના લીધે ગારમેન્ટ એક્સ્પોર્ટ ઉદ્યોગને 1500 કરોડના નુકશાનનો ફટકો પડે એવી સ્થિતિ છે. સમયસર માલ ન પહોંચે, ઓર્ડર રદ્દ થાય અને કન્ટેનરો અટવાવવાથી ગારમેન્ટ ઉદ્યોગની સ્થિતિ ડામાડોળ થઈ છે. ગુજરાતમાંથી કેસર કેરી અને અન્ય કેરીનો આશરે 500 કરોડનો ગલ્ફ જોડે વેપાર થાય છે. યુદ્ધ લંબાશે તો કેરીના એક્સ્પોર્ટ પર ગંભીર અસર કરશે. જેના લીધે કેરી એક્સપોર્ટરો સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપર વ્યાપક અસર થશે. યુદ્ધની પરિસ્થિતિમાં એક્સપોર્ટરો બરબાદ થઈ જાય તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટરોને બચાવવા રાહત પેકેજ માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. યુવા પેઢી જે સ્ટાર્ટ અપના નામે એક્સપોર્ટ ઈમ્પોર્ટ જોડે જોડાયેલી હશે તેને આ નુકશાનની અસર ના ભોગવવી પડે તે દિશામાં સરકારે વિચારવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:43 pm

મોરબીમાં વ્યાજખોરોથી પીડિતો માટે પોલીસની જનસંપર્ક સભા:બેંક લોન અને ધિરાણ અંગે માર્ગદર્શન પણ અપાશે

મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆતો સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા આગામી મંગળવારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિતોને મદદ કરવાનો અને જરૂરિયાતમંદોને બેંક મારફતે લોન મેળવવા અંગે માર્ગદર્શન આપવાનો છે. મોરબી જિલ્લામાં અનેક પરિવારો વ્યાજખોરોના ત્રાસથી પીડાઈ રહ્યા છે. મેડિકલ સારવાર, ધંધા કે અન્ય જરૂરિયાતો માટે જ્યારે લોકોને રૂપિયાની જરૂર પડે છે, ત્યારે તેઓ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાય છે. આ વ્યાજખોરો ઊંચા વ્યાજ વસૂલીને લાખો રૂપિયા અને અન્ય વસ્તુઓ પડાવી લે છે, અને ત્યારબાદ પણ ધાકધમકી આપે છે. આ જનસંપર્ક સભા મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાશે. મોરબી જિલ્લાના ડીવાયએસપી જે.એમ. આલ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ સભામાં ગેરકાયદે નાણાં ધીરધાર કરતા લોકો કે વ્યાજ વટાવનો ભોગ બનેલા કોઈપણ વ્યક્તિ પોતાની રજૂઆત કરી શકશે. વધુમાં, જે લોકોને ખરેખર નાણાની જરૂર હોય તેમને આ સભામાં હાજર રહેલા જુદી જુદી બેંકના કર્મચારીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ દ્વારા લોન કે ધિરાણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ પહેલનો હેતુ લોકોને વ્યાજખોરોના ચક્રમાં ફસાતા અટકાવીને બેંકિંગ પ્રણાલી દ્વારા મદદ પૂરી પાડવાનો છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:43 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ-ભગવંત માન ગુજરાત આવશે:4 દિવસ સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં રેલી અને જનસભા સંબોધશે, પ્રદેશ સંગઠન સાથે બેઠક કરી ઉમેદવારો નક્કી કરશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈપણ ગઠબંધન વગર આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે તેમજ તમામ બેઠક પર ઉમેદવાર ઉતારવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદારોને રિઝવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવશે. આગામી 24થી 27 માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં જન સભા સંબોધશે. 25 મીએ અમરેલીમાં અને 26 માર્ચે જામનગરમાં ખેડૂતો મુદ્દે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 27 માર્ચે દાહોદમાં આદિવાસી સમાજ મુદ્દે જનસભા યોજાશે. આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરશેસ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે. સ્ક્રીનિંગ કમિટીની ત્રણ દિવસની મિટિંગ યોજાઈ હતી. જેમાં કેટલાક નામો નક્કી કરવામાં આવ્યા છે. જો કે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પ્રદેશ સંગઠન સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં થશે. રાષ્ટ્રીય સંયોજક દ્વારા સહમતી મળ્યા બાદ આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરશે. 10 હજારથી વધુ સીટોને લઈને વિચારણા ચાલી રહી છેઆમ આદમી પાર્ટીએ સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પોતાની અલગ રણનીતિથી ચાલે છે. અમે બીજી પાર્ટીઓની જેમ નથી ચાલતા, પરંતુ અમારી પોતાની રણનીતિથી આગળ વધીએ છીએ અને સૌથી પહેલાં ઉમેદવારો જાહેર કરવાની દિશામાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. સ્ક્રિનિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ બીજા તબક્કામાં પણ અનેક સીટો માટે ચર્ચા ચાલી રહી છે. અંદાજે 10 હજારથી વધુ સીટોને લઈને વિચારણા ચાલી રહી છે, જેમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ભાજપ અને કોંગ્રેસ વર્ષોથી બાપ-બેટાની રાજનીતિ કરે છેવધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત સામાન્ય નાગરિકોને તક આપવા માટે ખુલ્લી પ્રક્રિયા અપનાવી છે. ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાંથી અનેક લોકો ચૂંટણી લડવા માટે આગળ આવ્યા છે. જેમાં કોઈ પણ સામાન્ય નાગરિક પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ભાજપ અને કોંગ્રેસ વર્ષોથી બાપ-બેટાની રાજનીતિ કરે છે. ભાજપ નેતાઓ પોતાના પરિવારજનોને આગળ ધપાવે છે. આમ આદમી પાર્ટી યોગ્ય લાયકાત ધરાવતા લોકોને ટિકિટ આપશે. આમ આદમી પાર્ટી કોઈ ગઠબંધન વગર પોતાની શક્તિ પર ચૂંટણી લડશે. તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવામાં આવશે. વિવિધ સ્થળોએ જનસભાઓ અને રેલીઓને સંબોધિત કરશેઅરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 25મી તારીખે અમરેલી ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 26મી તારીખે જામનગરના લાલપુરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. જે ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. 27મી તારીખે દાહોદ ખાતે પણ એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ વિવિધ સ્થળોએ જનસભાઓ અને રેલીઓને સંબોધિત કરશે. દાહોદમાં પણ અંદાજે 50થી 70 હજાર લોકોની વિશાળ રેલી યોજાશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:36 pm

નવસારી મનપાનું બીજું બજેટ આવતીકાલે રજૂ થશે:શહેર વિકાસ માટે ₹1000 કરોડ ફાળવણીની શક્યતા, નાગરિકોના સૂચનોનો સમાવેશ

નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ આવતીકાલે ટાઉનહોલ ખાતે રજૂ કરવામાં આવશે. મહાનગરપાલિકા બન્યા બાદ આ બીજું બજેટ છે, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અંદાજે ₹1000 કરોડની ફાળવણી થવાની શક્યતા છે. આ બજેટ સવારે 11 વાગ્યે વિશેષ સામાન્ય સભામાં રજૂ કરાશે. બજેટ તૈયાર કરતા પહેલાં મહાનગરપાલિકાએ શહેરના નાગરિકો પાસેથી મંતવ્યો મંગાવ્યા હતા. બુદ્ધિજીવીઓ અને જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના વિકાસ માટે 20 થી વધુ રચનાત્મક સૂચનો ઈમેલ દ્વારા NMCને મળ્યા છે. તંત્ર આ સૂચનોનો અભ્યાસ કરી તેને બજેટમાં સમાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બજેટમાં ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો, પીવાના પાણીની સુવિધા અને સ્ટ્રીટ લાઈટ જેવા પાયાના કામો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોના સુશોભીકરણ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવશે. નવસારી મનપાનું આ બજેટ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વખતે વિકાસ કામોની ગતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:35 pm

પાટણના ચંદ્રુમાણા ગામે માતાજીનો માંડવા ઉત્સવ યોજાયો:ભુવાજીઓએ વ્યસનમુક્તિ અને શિક્ષણનો સંદેશ આપ્યો

પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે ચૈત્રી નવરાત્રી દરમિયાન શનિવારે રાત્રે શિયોજ, વિહત અને મેલડી માતાજીનો માંડવા ઉત્સવ યોજાયો હતો. આ ભવ્ય આયોજન સોમાભાઈ ભગાભાઈ ખટાણાના યજમાન પદે, વડવાઓ દ્વારા સ્થાપિત માતાજીના સ્થાનકે કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં વિહત માતાના ભુવાજી મફાભાઈ વેલાભાઈ દેસાઈ, ભુવાજી રાજુભાઈ મફાભાઈ દેસાઈ, વીરા વસાની સિકોતર માતાના ભુવાજી હાર્દિકભાઈ અને જયરામભાઈ, ઈન્દ્રોડાના ગફુરભાઈ, સેલાવીના બાબુભાઈ સહિત અનેક ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત ભક્તોને વ્યસનો અને દુષણોથી દૂર રહેવા તેમજ શિક્ષણનો વ્યાપ વધારવા માટે આશીર્વાદ આપી ટકોર કરી હતી. આ પ્રસંગે સાણોદરડાના હીરાભાઈ ભુવાજી દ્વારા વિહત માના ભુવા રાજુભાઈનું લાલ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. યજમાન પરિવારે પણ તમામ ભુવાજીઓને રોકડ ભેટ આપી સન્માનિત કર્યા હતા.આ ધાર્મિક કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની સ્તુતિ તથા ગુણગાન ગાયા હતા.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:24 pm

મહાકાલી ટ્રેડિંગમાં રૂ.1 લાખની ચોરી કરનાર ગેંગનો સાગરીત ઝડપાયો:તેલનો ડબો લેવાના બહાને પૈસાની થેલી પર હાથ સાફ કર્યો, હજુ બે આરોપી ફરાર

મહેસાણા શહેરના માલ ગોડાઉન વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી નજર ચૂકવી રૂ.1.10 લાખની રોકડ ભરેલી થેલી ચોરી કરી નાસી છૂટેલી ત્રિપુટી પૈકીના એક આરોપીને બી-ડિવિઝન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે અમદાવાદના શખસને દબોચી લઈ અન્ય બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી પૈસા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતોગત 18 માર્ચ, 2026ના રોજ સાંજના સમયે માલ ગોડાઉન સ્થિત રોયલ શક્તિ માર્કેટમાં આવેલી 'મહાકાલી ટ્રેડિંગ કંપની'માં એક અજાણ્યો શખસ તેલનો ડબો લેવાના બહાને આવ્યો હતો. વેપારીની નજર ચૂકવી આ શખસ દુકાનમાં પડેલી ક્રીમ રંગની કાપડની થેલી જેમાં વેપારના રોકડા રૂ. 1,10,000 અને હિસાબના ચોપડા હતા, તે લઈને બહાર ઉભેલા અન્ય બે સાગરીતો સાથે એક્ટિવા પર બેસી ફરાર થઈ ગયો હતો. પોલીસે એક્ટિવા સાથે ઝડપી પાડ્યોઆ ગુનાની તપાસમાં લાગેલી બી-ડિવિઝન સર્વેલન્સ સ્કોડની ટીમે ઘટનાસ્થળ અને કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ તપાસતા શંકાસ્પદ એક્ટિવા નંબર GJ-01-XW-0210 મળી આવ્યું હતું. દરમિયાન નાગલપુર ચોકડી પાસે પેટ્રોલિંગમાં રહેલી પોલીસને બાતમી મળી હતી કે, આ ચોરીમાં વપરાયેલ એક્ટિવા લઈને એક શખસ શિવાલા સર્કલ તરફથી આવી રહ્યો છે. પોલીસે કોર્ડન કરી આરોપી શૈલેષકુમાર ગોવિંદભાઇ (રહે. અમદાવાદ, મૂળ રહે. રૂની, તા. હારીજ) ને ઝડપી લીધો હતો. આરોપીએ અન્ય બે સાથીના નામ જણાવી દીધાપોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે પોતાના અન્ય બે સાગરીતો નિકુંજ ઉર્ફે ચતરો ઠાકોર અને આનંદ ઠાકોર સાથે મળી આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કર્યા બાદ તેઓએ રકમની વહેંચણી કરી હતી. પકડાયેલ આરોપીની એક્ટિવાની ડેકીમાંથી ચોરી થયેલા હિસાબી ચોપડા પણ મળી આવ્યા છે. આ ટોળકી બજારમાં ગ્રાહક બનીને જતી અને વેપારીઓને વિશ્વાસમાં લઈ નજર ચૂકવી રોકડ રકમ ચોરવાની પદ્ધતિ ધરાવે છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાહાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) અને 54 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.જ્યારે ફરાર અન્ય બે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:22 pm

VIDEO: ઈરાને F-35 બાદ અમેરિકાના F-15 ફાઈટર જેટને તોડી પાડ્યું, વીડિયો જાહેર કરીને આપી ચેતવણી

Iran-US Conflict: ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ પાસે અમેરિકાના આધુનિક F-15 ફાઈટર જેટને તોડી પાડ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. વૈશ્વિક તેલ પુરવઠાનો સૌથી મોટો માર્ગ એટલે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' હાલ રણમેદાન બની ગયો છે. વીડિયો પુરાવા સાથે ઈરાને કર્યો મજબૂત દાવો

ગુજરાત સમાચાર 22 Mar 2026 6:21 pm

જામનગરમાં પોલીસકર્મીના લીવઈન પાર્ટનરનું સગીરા પર દુષ્કર્મ:એસ.ટી.ડેપોથી વિદ્યાર્થિનીનું અપહરણ કરી ઓવરબ્રિજ નીચે શિકાર બનાવી; ભરત બામરોટીયાની પોલીસે ધરપકડ કરી

જામનગર શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા આવેલી ગ્રામ્ય વિસ્તારની એક સગીર વિદ્યાર્થિની પર કારમાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. આ ગુનામાં જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા અને એક મહિલા પોલીસ કર્મચારીના લીવઈન પાર્ટનર એવા ભરત બામરોટીયાની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. વિદ્યાર્થિની બોર્ડની પરીક્ષા આપવા આવી હતીપ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર વિદ્યાર્થિની ગત 16મી તારીખે બોર્ડની પરીક્ષા આપવા માટે એસ.ટી. બસ મારફતે જામનગર આવી હતી. ગત 12મી તારીખે આરોપી ભરત બામરોટીયા આ વિદ્યાર્થિનીના સંપર્કમાં આવ્યો હતો અને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. 15મી તારીખે આરોપીએ વિદ્યાર્થિનીને મેસેજ કરી પૂછપરછ કરી હતી. ત્યારબાદ 16મીએ જ્યારે વિદ્યાર્થિની ડેપો પર ઉતરી ત્યારે આરોપી પોતાની GJ.5.RF.9659 નંબરની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને વિદ્યાર્થિનીને કારમાં બેસાડી હતી. ઓવરબ્રિજ નીચે નિર્જન સ્થળે લઈ ગયોઆરોપી તેને નવા ઓવરબ્રિજ નીચે એક નિર્જન સ્થળે લઈ ગયો હતો, જ્યાં કારના કાચ ચડાવીને ધાકધમકી આપી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઝપાઝપી દરમિયાન વિદ્યાર્થિનીને ગળાના ભાગે ઈજાઓ પણ થઈ હતી. ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરિવારજનોએ પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યોઆટલી ગંભીર ઘટના છતાં વિદ્યાર્થિનીએ અદભૂત હિંમત દાખવી બપોરના સેશનમાં પોતાનું પેપર આપ્યું હતું. સાંજે ઘરે પહોંચતા તેના ગળા પર ઈજાના નિશાન જોઈ પરિવારજનોએ પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરુદ્ધ દુષ્કર્મ ઉપરાંત પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છેપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભરત બામરોટીયા અગાઉ પ્રેમ લગ્ન કરી ચૂક્યો છે, પરંતુ પત્ની સાથે અણબનાવ થતા હાલ છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. હાલ તે જામનગરની એક મહિલા પોલીસ કર્મચારી સાથે મૈત્રી સંબંધોમાં છે અને તેની સાથે જ પોલીસ હેડક્વાર્ટરમાં રહે છે. તે કાર લે-વેચનો વ્યવસાય કરે છે. ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પડાયોSC/ST સેલના DYSP મિત રુદલાલ અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી તેની કાર, મોબાઈલ અને કપડાં જપ્ત કર્યા છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:20 pm

આધેડને માથામાં ધોકો મારતાં 8 ટાંકા આવ્યા:વાડીના શેઢે થાંભલા કાઢવા મુદ્દે હળવદમાં હુમલો, પોલીસ તપાસ શરૂ

હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરાયેલા લાકડાના થાંભલા કાઢી નાખવા મુદ્દે વિવાદ થયો હતો. આ મામલે સમજાવવા ગયેલા 57 વર્ષીય આધેડને માથામાં લાકડાનો ધોકો ફટકારવામાં આવતા તેમને આઠ ટાંકા આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાપકડા ગામના ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ મકવાણા (ઉં.વ. 57) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, તેમની વાડીના શેઢે તેમના ભાઈ અને ભત્રીજા દ્વારા વાડીમાં રખડતા ઢોર ન પ્રવેશે તે માટે લાકડાના થાંભલા લગાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ગામમાં જ રહેતો મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કાનજીભાઈ મકવાણા ત્યાં આવીને તે થાંભલા કાઢી નાખતો હતો. ઘનશ્યામભાઈ તેને સમજાવવા ગયા ત્યારે આરોપીએ તેમને ગાળો આપી હતી. ગાળો આપવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને ઘનશ્યામભાઈના માથાના ભાગે લાકડાનો ધોકો ફટકાર્યો હતો. આ હુમલામાં ઘનશ્યામભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા માથામાં આઠ ટાંકા લેવા પડ્યા હતા. હાલમાં, આધેડે નોંધાવેલી ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આરોપી મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:18 pm

દસાડા ધારાસભ્યે રણમાં વાવાઝોડાથી નુકસાનગ્રસ્ત અગરિયાઓની મુલાકાત લીધી:અગરિયા પ્રતિનિધિઓ સાથે મંત્રીને મળી, વળતરની રજૂઆત કરી

દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમારે રણમાં ભયંકર વાવાઝોડા અને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત અગરિયા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અગરિયાઓની વ્યથા સાંભળી હતી અને નુકસાનીની વિગતો જાણી હતી. આ વાવાઝોડાના કારણે મીઠું પકવતા અગરિયાઓની 70% સોલાર પેનલો તૂટી ગઈ હતી. મીઠાના ઉત્પાદનમાં પણ પાટા દીઠ 200 થી 250 ટનનું નુકસાન થયું હતું. આ ઉપરાંત, અનેક અગરિયાઓના રહેણાંકના છાપરા અને ઘરવખરીને પણ વ્યાપક નુકસાન થયું હતું. ધારાસભ્ય પી.કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ ઠાકોર અને પ્રહલાદભાઈ સહિતના અગરિયા પ્રતિનિધિઓ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાને રૂબરૂ મળીને રણમાં મીઠું પકવતા અગરિયાઓને સરકાર મારફતે તાત્કાલિક નુકસાની વળતર ચૂકવવા રજૂઆત કરી હતી. આ રજૂઆત વખતે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના રાજકીય આગેવાનો અને અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રણમાં મીઠું પકવતા અગરિયાઓને નુકસાનીનું વળતર ચૂકવવા માટે લેખિત રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વિનાશક વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 6:04 pm

અમદાવાદના વાલીઓને મોટી રાહત:વધુ એક વાર રુપાલાએ કરી સમાજને ટકોર,સાવકા પિતાએ 6 વર્ષની દીકરી પર કર્યું દુષ્કર્મ

સ્કૂલ વાન કે રિક્ષાના ભાડા નહીં વધે અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન કે રિક્ષાના ભાડામાં કોઈ વધારો નહીં થાય..સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો. 2024માં નક્કી કરાયેલા ભાડા જ યથાવત રહેશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાટીદારોના મહાસંમેલનમાં બોલ્યા પરષોત્તમ રુપાલા રાજકોટના ઇશ્વરીયા ગામે કડવા પાટીદારોના મહાસંમેલનમાં રુપાલાએ લગ્નવ્યવસ્થાથી લઈને સામાજિક રિવાજો મુદ્દે ટકોર કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિ:શુલ્ક ભોજન પ્રસાદીની સેવા બંધ કરાઈ ડાકોર મંદિરમાં ચાલતી નિ:શુલ્ક ભોજન પ્રસાદીની સેવા હાલ પૂરતી બંધ કરી દેવાઈ.. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે મંદિર કમિટીએ આ નિર્ણય કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુમ યુવતીએ આંતરધર્મિય લગ્ન કર્યાનો ખુલાસો અમરેલીના રાજુલામાંથી ગુમ થયેલી યુવતીએ મરજીથી મુહિસ ફિરાણી નામના યુવક સાથે આંતરધર્મીય લગ્ન કર્યા હોવાનો ખુલાસો કર્યો.. એક અઠવાડિયામાં હિંદુ સમાજની ચાર દીકરીઓએ આંતરધર્મિય લગ્ન કરતા ચકચાર મચી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવી સિવિલ હોસ્પિટલમાં નશેડીઓની ધમાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ રુમ પાસે વોર્ડબોય અને એમ્બ્યુલન્સ ચાલકે નશામાં હોબાળો કર્યો .. અઠવા પોલીસના એએસઆઈ સાથે ઝપાઝપી કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે બંને નશેડીઓની અટકાયત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિવિલ પાસે મધરાત સુધી ચાલ્યો જલસો જૂનાગઢની GMERS મેડિકલ કોલેજમાં 2 વાગ્યા સુધી ભાવિ ડોક્ટર્સે ડીજેના તાલે પાર્ટી કરી..20 માર્ચે યોજાયેલી એન્યુઅલ ફંક્શન અને ફેરવેલ પાર્ટીમાં ડોક્ટર્સે તમામ નીતિ -નિયમોનો ઉલાળીયો કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 81 બોલમાં ધુંઆધાર 193 રન ફટકાર્યા સુરત ક્રિકેટ લીગમાં 22 વર્ષના આર્ય દેસાઈએ 81 બોલમાં 193 રન ફટકાર્યા. જેમાં 14 સિક્સર અને 21 બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે. આર્યએ 238.27ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાવકા પિતાએ 6 વર્ષની દીકરી પર કર્યું દુષ્કર્મ અમદાવાદમાં સાવકા પિતાએ 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું.માતા ગેલેરીમાં કપડા સુકવી રહી હતી તે દરમિયાન પિતાએ આ કુકર્મ કર્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રમઝાનમાં થયેલી બબાલ બાદ ફાયરિંગ ભાવનગરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતમાં પથ્થરમારો થયા બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરાયું..પોલીસે એક ખાલી કાર્ટિઝ સ્થળ પરથી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ્સ પર ગ્રીન નેટ લાગશે..ટુ વ્હીલર ચાલકોને સિગ્નલ પર રોકાવાને કારણે ગરમીનો સામનો ન કરવો પડે તે માટે શહેરના 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લાગશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 5:55 pm

લાજપોર જેલમાંથી ફરાર આરોપી દોઢ મહિને ઝડપાયો:મર્ડરના ગુનામાં પેરોલ જમ્પ કરી સોનગઢના જંગલોમાં છૂપાયો, પાંડેસરા પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો

સુરત પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. વર્ષ 2023માં થયેલી એક ઘાતકી હત્યાના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને પોલીસે તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા પાસેના ગાઢ જંગલોમાંથી શોધી કાઢ્યો છે. આરોપી છેલ્લા દોઢ મહિનાથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો, પરંતુ અંતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તે પોલીસના સકંજામાં આવી ગયો છે. શું છે સમગ્ર મામલો?મળતી માહિતી મુજબ, તારીખ 14 જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાંતિના દિવસે પાંડેસરા વિસ્તારમાં એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. ફરિયાદી બલરામ ભગવાન શાહુ (રહે. સનાતન ડાયમંડનગર, પાંડેસરા) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક વિનોદ પાંડે સાથે અગાઉ ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને આરોપી દીપક પાંડેએ ફરિયાદીના ભાઈ શિવાને સાંજના સમયે નાકોડા મેદાન પાસે બોલાવ્યો હતો. સમાધાનની વાત ચાલી રહી હતી ત્યારે અચાનક ઉશ્કેરાઈ જઈને દીપકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે શિવાના પેટના ભાગે ઉપરા-છાપરી ઘા મારી દીધા હતા. આ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 302, 307 અને જી.પી. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી જેલમાંથી પેરોલ મેળવી થયો ફરારઆ ગુનામાં ધરપકડ થયા બાદ આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડે (ઉ.વ. 22, રહે. ભક્તિ નગર સોસાયટી, બમરોલી રોડ) લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. દરમિયાન, તેણે કોર્ટમાંથી 10 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જામીન મુક્ત થયા બાદ નિયત સમયે જેલમાં હાજર થવાને બદલે આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે તેને શોધવા માટે ચક્રગતિમાન કર્યા હતા. આરોપી તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં છુપાયોપાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ચૌધરી અને એસ.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવા અને ડી.જે. બારોટની ટીમ સતત આરોપીનો પીછો કરી રહી હતી. દરમિયાન, એ.એસ.આઈ. વિજયભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈને બાતમી મળી હતી કે આરોપી તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં છુપાયેલો છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને દબોચ્યોટેકનિકલ વર્કઆઉટના આધારે જાણવા મળ્યું કે આરોપી સોનગઢ કિલ્લા તરફ જતા જંગલ વિસ્તારમાં દેવજીપુરા અને પારસ ફળીયા પાસે છુપાયો છે. પાંડેસરા પોલીસની ટીમે તાત્કાલિક સોનગઢના જંગલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. જંગલના કઠિન રસ્તાઓ અને ઝાડી-ઝાંખરા વચ્ચે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડેને દબોચી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 5:44 pm

મહેસાણા દિવ્ય જ્યોત ક્રેડિટ સોસાયટીની કારોબારી બેઠક મળી:ચંદ્રુમાણામાં ગૌરી માતાના સાંનિધ્યમાં પાંચ નવી લોન અરજીઓ મંજૂર

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે ગૌરી માતાના સાંનિધ્યમાં મહેસાણાની દિવ્ય જ્યોત શરાફી સહકારી મંડળી (ક્રેડિટ સોસાયટી)ની કારોબારી બેઠક શનિવારે રાત્રે યોજાઈ હતી. મહેસાણાના બ્રાહ્મણ પરિવારોની આર્થિક જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી છેલ્લા 34 વર્ષથી કાર્યરત આ સંસ્થાની બેઠકમાં પાંચ નવી લોન અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. આ બેઠકમાં ધિરાણ વસૂલાત સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંસ્થાના ચેરમેન અશ્વિનભાઈ યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને મળેલી આ સભામાં અગાઉની સભાનું પ્રોસીડિંગ વંચાણે લેવાયું હતું અને ફેબ્રુઆરી માસના હિસાબો મંજૂર કરાયા હતા. ચેરમેન યાજ્ઞિકે ધિરાણમાં મુદ્દલ રકમ પરત ન આવે તો પણ વ્યાજ નિયમિત આવે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો, જેથી ડિવિડન્ડ ચૂકવવામાં સરળતા રહે. સંસ્થાના ડિરેક્ટર અને ગૌરી માતા સંસ્થાના મંત્રી સુરેશભાઈ વ્યાસે 1994થી કાર્યરત સોસાયટીનો પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા બ્રહ્મ સમાજના સભાસદોના પરિવારોને આર્થિક લોન ધિરાણ કરીને તેમના પ્રસંગોમાં મદદરૂપ થતી આવી છે અને વસૂલાત પણ નિયમિત થાય છે. આ સંસ્થા સમાજના લોકોમાં સંગઠનની ભાવના કેળવવામાં સફળ રહી છે. આ બેઠકમાં પ્રમુખ રાજેન્દ્રભાઈ ભટ્ટ, મંત્રી શૈલેષભાઈ ઠાકર, આકાશભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ઠાકર, ઇન્દુભાઇ દવે, પંકજભાઈ રાવલ, ઇન્દ્રવદન રાવલ, કૌશિકભાઈ જોષી (આર્કિટેક), કરસનભાઈ જાની, સંજયભાઈ જાની અને મેનેજર નીતિનભાઈ રાવલ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઈ વ્યાસ, ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ, પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, જ્યોતિન્દ્રભાઈ વ્યાસ, મૂળશંકર વ્યાસ, ચંદ્રુમાણા બ્રહ્મ સમાજના સુનિલભાઈ વ્યાસ, જીતુભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ અને અનાવાડા ગૌશાળાના દિનેશભાઈ જોષી સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ગામના અગ્રણીઓએ ચંદ્રુમાણા ગામની ઐતિહાસિકતા અને ગૌરી માતાના પ્રાગટ્ય તેમજ લોકજીવનનો પરિચય કરાવ્યો હતો, જેનાથી સૌ પ્રભાવિત થયા હતા. ચેરમેને ગૌરી માતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 5:38 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:'પ્રદીપ ગુરુજી'ના આશ્રમમાંથી વધુ એક શંકાસ્પદ ભોયરું મળ્યું, આર્ય દેસાઈની SCLમાં 193 રનની તોફાની ઈનિંગ

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 5:30 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:કૃષ્ણનગરમાં સાવકા પિતાએ 6 વર્ષીય પુત્રીને પીંખી નાખી, કાંકરિયામાં છોકરાઓ લટકતા રહ્યા'ને ટોય ટ્રેન દોડતી રહી

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 5:30 pm

વામૈયામાં 'ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન' મોકૂફ:સિદ્ધપુરના હિસોરમાં ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં નિર્ણય, 18 યુવાનો જેલમુક્ત થયા બાદ સ્નેહ મિલન યોજાશે

પાટણના વામૈયા ગામે 23 તારીખે યોજાનાર ક્ષત્રિય સમાજનું 'ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન' હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સિદ્ધપુર તાલુકાના હિસોર ગામે ક્ષત્રિય સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓની બેઠકમાં સર્વાનુમતે લેવાયો હતો. સમાજના 18 યુવાનો જેલમુક્ત થયા બાદ આભારવિધિ અને સ્નેહ મિલન સાથે નવી તારીખે આ સંમેલન યોજવામાં આવશે. અગાઉ કલેક્ટર કચેરી, એસપી અને મીડિયાના માધ્યમથી આ સંમેલન માટે જે કોલ આપવામાં આવ્યો હતો, તેને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજિત બારડે જણાવ્યું હતું કે, હિસોર ગામે હર્ષિદના ધામમાં મળેલી ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, સરપંચો, ડેલીગેટ્સ અને રાજકીય-સામાજિક આગેવાનોની મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. હવે નવી તારીખ, નવું સ્થળ અને નવી રણનીતિ મુજબ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. અભિજિત બારડે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ લડત કોઈ ચોક્કસ સમાજ કે આખા પોલીસ તંત્ર સામે નથી. પરંતુ, જે તે સમયે બનેલી ઘટનામાં સંકળાયેલા ચોક્કસ કર્મચારીઓ સામે હતી. તેમણે ઉમેર્યું હતું કે સરકાર કે ગુજરાત પોલીસ સામે કોઈ વિરોધ નથી. સમાજ દ્વારા એવી પણ વિનંતી કરવામાં આવી છે કે આ મુદ્દે સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિને ટ્રોલ ન કરવા કે નકારાત્મક ટિપ્પણીઓ કરી વાતાવરણ ન ડહોળવું. તમામ ક્ષેત્રના કર્મચારીઓ, અધિકારીઓ અને આગેવાનોના સંકલનથી લેવાયેલા આ નિર્ણયને સ્વીકારી લડતને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 5:25 pm

જોરાવરનગરમાં સવા આયુષ હોસ્પિટલમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:નવા જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દીક ટમાલીયાના સન્માન નિમિત્તે આયોજન કરાયું

જોરાવરનગરની સવા આયુષ હોસ્પિટલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના સન્માન નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નવા આધુનિક વિભાગોનું પણ લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસેવલીયા, સુરેન્દ્રનગર-વઢવાણ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને જિજ્ઞાબેન પંડ્યા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલાવાડ વિસ્તારની સૌપ્રથમ અને એકમાત્ર NABH માન્યતા પ્રાપ્ત સવા આયુષ હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ, લેઝર દ્વારા પથરીની સર્જરી (RIRS) વિભાગ અને એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી વિભાગ જેવા આધુનિક વિભાગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ન્યુરોસર્જરી, યુરોલોજી, મેડિસિન, જનરલ સર્જરી, પીડિયાટ્રિક, ENT, ઓર્થોપેડિક, ગાયનેક અને આંખના વિભાગોમાં નિદાન અને સારવાર ઉપલબ્ધ હતી. પ્રથમ ૫૦ દર્દીઓ માટે મોતીયાના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન ડોક્ટરની સલાહ, જરૂરી તપાસ અને લેબોરેટરી ટેસ્ટ સહિતની તબીબી સેવાઓ દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ સેવા યજ્ઞ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સવા આયુષ હોસ્પિટલની ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 5:09 pm

વલસાડ AAP લોકસભા ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેનું રાજીનામું:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે પક્ષ છોડ્યો

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે વલસાડમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. વલસાડ લોકસભા બેઠકના AAPના ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેએ અચાનક પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ડો. રાજીવ પાંડે વલસાડ જિલ્લામાં AAPના એક મહત્વપૂર્ણ ચહેરા તરીકે ઓળખાતા હતા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમના રાજીનામાથી AAPના સંગઠનમાં ભંગાણ સર્જાયું હોવાનું મનાય છે. જોકે, ડો. પાંડેના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સ્પષ્ટ થયા નથી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે તેઓ પક્ષની આંતરિક કામગીરી અથવા આગામી ચૂંટણીઓની રણનીતિને લઈને નારાજ હોઈ શકે છે. તેમના આ નિર્ણયથી પક્ષના કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. ડો. રાજીવ પાંડેના રાજીનામા બાદ તેઓ કયા પક્ષમાં જોડાશે તેના પર સૌની નજર છે. સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા પાંડે જો અન્ય કોઈ પક્ષમાં જોડાય છે, તો તેની સીધી અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 5:09 pm

કાળીયાબીડના નાકેથી દારૂના જથ્થા સાથે બે યુવક ઝડપાયા:રૂ.55 હજારનો મુદ્દામાલ જપ્ત, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો; દારૂ અકવાડાના શખ્સ પાસેથી લાવ્યાનો ખુલાસો

ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાળિયાબીડના નાકે આવેલ લખુભાહોલ પાસેથી પસાર થઈ રહેલા બાઈક સવાર બે યુવકોને અટકાવી તપાસ કરતા શખ્સો પાસેથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવતા પોલીસે બંનેને ઝડપી લીધા હતાં. પૂછપરછમાં દારૂનો જથ્થો અકવાડાના અન્ય શખ્સ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવતા પોલીસે કુલ રૂ. 55,600નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બે શંકાસ્પદને અટકાવીને પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યોમળતી વિગતો અનુસાર, ગઈકાલે(21 માર્ચ) નિલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન મળેલી બાતમીના આધારે કાળિયાબીડનાં નાકે આવેલ લખુભાહોલ પાસે વોચ ગોઠવી હતી, એ દરમિયાન બાઈક નંબર GJ-04 EC-6810 પર સવાર થઈ બે શખ્સો શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને અટકાવી પૂછપરછ કરી હતી. 12 બોટલ સાથે બેને દબોચ્યાપોલીસે તપાસ કરતા ધાર્મિક હર્ષદ સરવૈયા ઉં.વ 21 તથા વિશાલ વિક્રમ બારૈયા ઉં.વ 21 રહે બન્ને રહેવાસી ભરતનગરના પાસેથી પરપ્રાંતિય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાનીમોટી કુલ 12 નંગ બોટલ મળી આવતા પોલીસે બન્નેને ઝડપી લીધા હતાં. 55 હજારનો મુદ્દામાલ જપ્તપોલીસે આ દારૂ અંગે બન્ને શખ્સોની પૂછપરછ કરતા અકવાડા ગામે રહેતા સંજય શેફા મોભ પાસેથી આ દારૂનો જથ્થો લાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આથી પોલીસે રૂ. 15,600 ઇંગ્લિશ દારૂની 12 બોટલો તથા બાઇક રૂ. 40,000 મળી કુલ રૂ. 55,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 3 સામે ગુનો નોંધાયોઝડપાયેલા ધાર્મિક હર્ષદભાઈ સરવૈયા, વિશાલ વિક્રમભાઈ બારૈયા બન્ને રહેવાસી ભરતનગર તેમજ સંજય સેફાભાઈ મોભ રહે. ગામ અકવાડા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 5:06 pm

રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધાની CODEAVOUR 7.0 યોજાઈ:25 સ્કૂલના 300 કરતા વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો; AI, કોડિંગ અને રોબોટિક્સના લાઈવ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન

અમદાવાદમાં ટેકનોલોજી અને શિક્ષણને પ્રોત્સાહન આપતી રાજ્યકક્ષાની CODEAVOUR 7.0 સ્પર્ધા યોજાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓએ પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કર્યું હતું. જેમાં રાજ્યભરની 25 જેટલી સ્કૂલાના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સ્પર્ધામાં નિષ્ણાતોના મૂલ્યાંકન બાદ સારો રોબોટ બનાવનાર અને સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. વિજેતા વિદ્યાર્થીઓ હવે નેશનલ લેવલ પર પોતાની કાબેલિયત સાબિત કરશે. ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યોએચ.બી. કાપડિયા હાઈસ્કૂલમાં રાજ્યકક્ષાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધા CODEAVOUR 7.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા અને તાલુકા સ્તરે યોજાયેલી પ્રાથમિક સ્પર્ધાઓમાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 25થી વધુ સ્કૂલમાં 300 કરતા વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ પોતપોતાના નવીન અને ક્રિયેટિવ રોબોટ્સ બનાવીને રજૂ કર્યા હતા. તેમજ ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને નવીન વિચારશક્તિનો વિકાસ કરવાનો હતો. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયતરાજ્યકક્ષાની CODEAVOUR 7.0માં વિદ્યાર્થીઓએ લાઈવ પ્રોજેક્ટ ડેમોન્સ્ટ્રેશન, ઈન્ટરેક્ટિવ સેશન અને ઇનોવેટિવ પ્રદર્શન દ્વારા પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા તમામ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટની નવીનતા, ઉપયોગિતા અને ટેક્નિકલ સમજણને ખાસ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ પ્રકારની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્પર્ધાના અંતે નિષ્ણાતોના મૂલ્યાંકનના આધારે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓ હવે નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે. જ્યાં તેઓ પોતાના કૌશલ્યને વધુ ઊંચા સ્તરે રજૂ કરશે. સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ રોબર્ટ્સ બનાવીને લાવ્યાઃ હર્ષ કાપડિયાએચ.બી. કાપડિયા સ્કૂલના ટ્રસ્ટી હર્ષ કાપડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાતની અલગ અલગ સ્કૂલોની 90 જેટલી ટીમ ભાગ લીધો હતો. સ્કૂલોમાંથી અલગ-અલગ કેટેગરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ટ્રેક 1, ટ્રેક 2 અને ટ્રેક એક ત્રણ ટેક પર કોમ્પિટિશન યોજવામાં આવી છે. વિદ્યાર્થીઓ રોબર્ટ્સ બનાવીને લાવ્યા છે અને બીજી ટીમ સાથે સ્પર્ધા કરી રહ્યા છે. રોબોટ્સથી ફૂટબોલ રમીને ગોલ કરવા જેવી અલગ-અલગ સ્પર્ધા યોજવામાં આવી હતી. ‘એચ. બી. કે. સ્કૂલમાં પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને AIનું શિક્ષણ’વધુમાં હર્ષભાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા AI સમિટ યોજવામાં આવી હતી. AI અને રોબોટિક્સનું મહત્વ પણ વધી રહ્યું છે. તેમજ AI અને રોબોટિક્સ શીખ્યા વગર ચાલી શકે તેમ પણ નથી, જેથી વિદ્યાર્થીઓ તે શીખે અને મોટા લેવલ પર ભાગ લેશે તો દેશને તેનો ઘણો ફાયદો થશે. તેમજ દુનિયામાં પણ લીડર તરીકે ઉભરી આવીશું. એચ.બી.કે શાળામાં પણ પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને AIનું શિક્ષણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ નવા જમાના પ્રમાણે તૈયાર થાય તે માટે આ સ્પર્ધા યોજવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:42 pm

SRP જવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત:વડોદરામાં બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું, ચાલી શકતા ન હોવાથી છેલ્લા એક વર્ષથી રજા પર હતો

વડોદરા શહેરમાં વધુ એક જવાનનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ બનાવ સામે આવ્યો છે. જેમાં SRP જવાન છેલ્લા એક વર્ષથી રજા પર હતો. કારણ કે તેઓને બીમારી હતી, બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિમારીથી કંટાળી SRP જવાને ગળેફાંસો ખાધોવડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલ મહાનગર સોસાયટીમાં રહેતા સુમનભાઈ શકુભાઇ રાઠવા (ઉંમર વર્ષ 44) છેલ્લા કેટલાય વર્ષોથી એસઆરપી ગ્રુપ એકઆ ફરજ બજાવતા હતા. તેઓને છેલ્લા એક વર્ષથી કમરમાં મણકાની બીમારી હોવાથી તેઓ ચાલી શકતા ન હતા. જેથી તેઓ એક વર્ષથી રજા પર હતા. તેઓને ચાર દીકરીઓ છે. બિમારીથી કંટાળી તેઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ સુમનભાઇ શકુભાઇ રાઠવા SRP જવાન તરીકે ફરજ બજાવતા હતા અને આ પગલું બીમારીના કારણે ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેઓ આજે સવારે પોતાના મ.નં.બી/121ના પાછળના ભાગે આવેલ પતરાવાળા સ્ટોરરૂમમા છતની લોખંડની પાઇપ સાથે સાડી બાંધી કોઇ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોઆ બનાવને લઈ વાડી પોલીસે મૃતક સુમનભાઇના મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ આપઘાત પાછળ બીમારી સહિત અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:40 pm

વાડીમાં છુપાવેલા 4 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા:પાતાપુરની વાડીમાં ચાલતા દારૂના અડ્ડામાંથી 1390 બોટલ જપ્ત, ત્રણની શોધખોળ

​જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાતાપુરની એક વાડીમાં ચાલતા વિદેશી દારૂના નેટવર્ક પર સફળ દરોડો પાડીને 4 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન વાડીમાં છુપાવી રાખેલી 1390 નંગ વિદેશી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી છે અને સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે, અન્ય ત્રણ શખ્સો ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો​જૂનાગઢમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ વજરાજસિંહ ચુડાસમા સહિતના સ્ટાફને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં આવેલી હરેશ લખમણભાઈ ભાદરકાની વાડીમાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ત્યાં ગાંધીગ્રામ વિસ્તારના ભરત હમીરભાઈ રાડાએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો. 4 લાખની 1390 દારૂની બોટલ જપ્તપોલીસે આ સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1390 બોટલો કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત 4,05,977 રૂપિયા થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, જેની કિંમત 20,000 રૂપિયા આંકવામાં આવી છે. આમ, ક્રાઇમ બ્રાન્ચે કુલ 4,25,977 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે શખ્સોની ધરકપડ, ત્રણ ફરારની શોધખોળ​આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પાતાપુર ગામના 43 વર્ષીય ખેડૂત હરેશભાઈ લખમણભાઈ ભાદરકા અને જૂનાગઢ ગાંધીગ્રામના 45 વર્ષીય ભરતભાઈ હમીરભાઈ રાડાનો સમાવેશ થાય છે. જોકે, આ કેસમાં અન્ય ત્રણ શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમાં ગાંધીગ્રામનો મેરા ઉર્ફે બકરી પરબતભાઈ શામળા, મીરાનગરનો દેવા જેસાભાઈ પરમાર અને ગાંધીગ્રામનો નિકુલ ભરતભાઈ રાડા ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:38 pm

આર્મ્સ એક્ટનો વોન્ટેડ આરોપી નિઝરમાં ઝડપાયો:બિહારનો રમેશકુમાર વ્યાવલ નાકા પાસેથી પકડાયો

તાપી જિલ્લાની નિઝર પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ બિહારના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને વ્યાવલ નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યો હતો. નિઝર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ અને કલ્પેશભાઈ મસાભાઈને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર, નિઝર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 11824007250017/2025 હેઠળ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટમાં વોન્ટેડ આરોપી આ વિસ્તારમાંથી પસાર થવાનો હતો. આ બાતમીના આધારે, પોલીસે વ્યાવલ નાકા પાસે વોચ ગોઠવી હતી અને આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ રમેશકુમાર ઉર્ફે રાકેશ વિંદા રાય (ઉં.વ. 41), વ્યવસાયે મજૂર, રહેવાસી સકડ્ડડી, થાણા-કોઇલવર, જિલ્લો-ભોજપુર (બિહાર) તરીકે થઈ છે. પોલીસે વોન્ટેડ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાતા પોલીસ વિભાગે રાહત અનુભવી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:36 pm

ફેક ઈન્સ્ટા IDથી મંગેતરને ગંદા અને અભદ્ર મેસેજ કરાયા:જ્વેલરી શોરૂમમાં જોબ કરતી યુવતીની તસવીરનો દુરૂપયોગ, નવસારી ટાઉન પોલીસને પુરાવા આપ્યા

નવસારીમાં સોશિયલ મીડિયાના દુરુપયોગનો એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીના ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. આ આઈડી પરથી યુવતીના મંગેતરને અભદ્ર મેસેજ મોકલી બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે 27 વર્ષીય યુવતીએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતી નવસારીના એક જ્વેલરી શો-રૂમમાં નોકરી કરે છે. તેના લગ્ન ત્રણ મહિના પહેલા કમેલા રોડના એક યુવાન સાથે નક્કી થયા હતા. ગત 31 જાન્યુઆરીના રોજ યુવતી નોકરી પર હતી ત્યારે તેના મંગેતરનો ફોન આવ્યો હતો. મંગેતરે પૂછ્યું હતું કે, શું તેણે ઇન્સ્ટાગ્રામ પર કોઈ નવી આઈડી બનાવીને મેસેજ કર્યા છે? યુવતીએ ના પાડતા જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યા શખ્સે યુવતીના ફોટાનો ઉપયોગ કરીને ujul_20 નામનું ફેક આઈડી બનાવ્યું હતું. આ ફેક આઈડી પરથી તેના મંગેતરને અત્યંત અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા હતા. પોતાના નામે ફેક આઈડી બનાવી બદનામ કરવાનું કાવતરું જોઈ યુવતી ગભરાઈ ગઈ હતી. તેણે તાત્કાલિક ભારત સરકારના સાયબર ક્રાઈમ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ, નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ પુરાવા તરીકે સ્ક્રીનશોટ રજૂ કર્યા હતા અને અજાણ્યા આઈડી ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નવસારી પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફેક આઈડી ઓપરેટ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:29 pm

હાલ રાજ્યમાં માવઠાની શક્યતા નહિવત, ગરમી વધશે:48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે, 7 દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવી શકે

હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યાં છે. આવનારા દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. આ સાથે જ જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં તાપમાનમાં ફરી બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાનમાં વધારાની સાથે-સાથે ગરમીમાં પણ વધારો નોંધાશે. છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના શહેરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાત દિવસ બાદ ફરી વાતાવરણ પલટી શકેહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. છેલ્લા 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જે બાદ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો વધારો નોંધાશે નહીં. ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયકોલિક સર્ક્યુલેશન હતું તે હવે પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેની ગુજરાત પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશે. ઉત્તર પશ્ચિમથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયુંહવામાન વિભાગના આંકડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 35 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીમાં 34.9 ડિગ્રી, સુરતમાં 34.5 ડિગ્રી, અમદાવાદમાં 34.2 ડિગ્રી, વડોદરામાં 34.2 ડિગ્રી, ડાંગમાં 34 ડિગ્રી, કંડલામાં 34.7 ડિગ્રી, ગાંધીનગરમાં 33.6 ડિગ્રી, ભુજમાં 33.4 ડિગ્રી, પોરબંદરમાં 33.2 ડિગ્રી, ભાવનગરમાં 33 ડિગ્રી, ડીસામાં 32.7 ડીગ્રી, દમણમાં 32.4 ડિગ્રી, દાહોદમાં 31.7 ડિગ્રી, નલિયામાં 31.6 ડિગ્રી, દીવમાં 30.8 ડિગ્રી, દ્વારકામાં 30.5 ડિગ્રી, ઓખામાં 30.3 ડિગ્રી અને વેરાવળમાં 30.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:29 pm

પંચમહાલમાં ₹14 કરોડના પુલનું લોકાર્પણ:રાજ્ય કૃષિ મંત્રીએ પાનમ નદી પર સાલીયા-મિરપને જોડતા પુલનો કર્યો શુભારંભ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં સાલીયા અને મિરપ ગામને જોડતા પાનમ નદી પર ₹14 કરોડના ખર્ચે નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે આ પુલ ખુલ્લો મુકાયો હતો. આ પુલના નિર્માણથી મોરવા હડફ મતવિસ્તારના વિકાસ કાર્યોમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. આ પુલ અંદાજે ₹14 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. લોકાર્પણ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, આ પુલ બનવાથી વિસ્તારના હજારો નાગરિકોની અવરજવર સરળ બનશે. ચોમાસા દરમિયાન નદી પાર કરવામાં પડતી હાલાકીનો કાયમી ઉકેલ આવશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:25 pm

વઢવાણ મિલેટ મહોત્સવમાં રાગી ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર:સુરતના વિશ્વાબેન ગામીતે પૌષ્ટિક લાડુ, પાપડ, ભૂંગળા સહિત વાનગીઓ રજૂ કરી

સુરેન્દ્રનગરના વઢવાણ હવામહેલ ખાતે આયોજિત ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’માં અનેક ખેડૂતો અને મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં સુરતની સરદાર પટેલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિશ્વાબેન ગામીતનો સ્ટોલ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વિશ્વાબેન ‘શ્રી અન્ન’ એટલે કે મિલેટના મહત્વને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાગીમાંથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે. તેમનો આ પ્રયાસ માત્ર વ્યવસાય પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં પરંપરાગત અને શુદ્ધ આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનું એક સશક્ત માધ્યમ બની રહ્યો છે. રાગીના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે માહિતી આપતા વિશ્વાબેન ગામીતે જણાવ્યું કે, રાગી કુદરતી પોષક તત્વોનો ખજાનો છે. અન્ય ધાન્ય પાકોની સરખામણીમાં રાગીમાં ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. આજના સમયની બેઠાડું જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે થતી ડાયાબિટીસ, હૃદયરોગ અને પાચનની સમસ્યાઓ સામે લડવામાં રાગી અત્યંત મદદરૂપ થાય છે. રાગી પચવામાં હલકી અને સ્વાસ્થ્યપ્રદ હોવાથી નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વયના લોકો માટે તે ઉત્તમ આહાર છે. તેમના સ્ટોલ પર રાગીના લોટમાંથી બનેલી પૌષ્ટિક લાડુ, ક્રિસ્પી પાપડ, રાગીના ભૂંગળા અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો શહેરીજનોમાં ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.વિશ્વાબેને વધુમાં ઉમેર્યું કે, રાગી જેવા મિલેટ પાકો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા ઓછા પાણીમાં અને કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સરળતાથી ઉગાડી શકાય છે. આ પદ્ધતિ ખેડૂતો માટે ઓછી ખર્ચાળ હોવાની સાથે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણની જાળવણી માટે પણ અનુકૂળ છે. આનાથી ગ્રાહકોને ઝેરમુક્ત અને સાત્વિક આહાર મળે છે. વિશ્વાબેન ગામીત જેવા સજાગ મહિલા સાહસિકોની આ પહેલ સમાજમાં પૌષ્ટિક આહાર પ્રત્યે નવી સભાનતા લાવી રહી છે અને ‘મેદસ્વિતા મુક્ત ભારત’ના નિર્માણમાં પાયાનું કામ કરી રહી છે. સુરેન્દ્રનગરનો આ મિલેટ મહોત્સવ ‘સ્વસ્થ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવાનું પ્રેરણાપીઠ બની રહ્યો છે. મુલાકાતીઓ વિશ્વાબેનના સ્ટોલ દ્વારા મિલેટના આધુનિક ઉપયોગો અને તેના વૈજ્ઞાનિક ફાયદાઓને સમજી રહ્યા છે, જેના પરિણામે લોકો ફરી એકવાર પોતાના પરંપરાગત ‘શ્રી અન્ન’ આહાર તરફ વળવા પ્રેરાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:15 pm

સુરતમાં મીની વાવાઝોડાએ વધુ એકનો ભોગ લીધો, મૃત્યુઆંક 3 થયો:યુવકની લાશ 3 દિવસે ઝાડ નીચેથી મળી, 7 વર્ષના પુત્ર સાથે પત્નીનું હૈયાફાટ રુદન; પોલીસની કામગીરી પર સવાલ

સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ટેકરામાં ગત 19 માર્ચના રોજ ફૂંકાયેલા મિની વાવાઝોડાએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. વાવાઝોડા દરમિયાન ધરાશાયી થયેલા વિશાળકાય ઝાડ નીચે દબાઈ જવાથી 35 વર્ષીય મુકેશકુમાર યાદવનું કરુણ મોત નીપજ્યું હતું. નવાઈની વાત એ છે કે, આ યુવક છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો અને આજે રવિવારે સવારે તેનો મૃતદેહ ઝાડ નીચેથી મળી આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. 7 વર્ષના પુત્ર સાથે પત્નીનું હૈયાફાટ રુદન દેખાયું હતું. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. સુરતમાં મિની વાવાઝોડાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3 થયો છે. 19 માર્ચે મનપાનું લોખંડનું બોર્ડ ધરાશાયી થયું ને યુવકનું મોતઉલ્લેખનીય છે કે, સુરતમાં મીની વાવાઝોડાના ભારે પવનને કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ-વૃક્ષો ધરાશાયી થયા હતાં, જેમાં 19 માર્ચે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ભારે પવનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું હતું. કમનસીબે, આ બોર્ડ યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સચિનમાં વાવાઝોડાના કારણે રૂમની દિવાલ પડતાં 21 માર્ચે આધેડનું મોત મળેલી માહિતી મુજબ, સચિન હળપતિવાસમાં 55 વર્ષ છનાભાઈ સુમનભાઈ રાઠોડ, ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. છનાભાઈ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 19મીએ રાત્રે શહેરમાં અચાનક વાવાઝોડું આવ્યું હતું. દરમિયાન છનાભાઈની રૂમની દિવાલ તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 21 માર્ચ(શનિવારે)સવારે તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભારે પવનથી અચાનક વૃક્ષ યુવક પર ખાબક્યુંમળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની મુકેશકુમાર યાદવ (ઉં.વ. 35) સુરતમાં રહી હજીરાની કંપનીમા કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 19 માર્ચના રોજ જ્યારે શહેરમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું, ત્યારે મુકેશકુમાર કામ પર જવા માટે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન મોરા ટેકરા વિસ્તારમાં અચાનક ઝાડ તેમના પર ખાબક્યું હતું. મુકેશકુમાર ઘરે પરત ન ફરતા ચિંતિત પત્નીએ ઈચ્છાપોર પોલીસ મથકે પતિ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. 3 દિવસ બાદ ઝાડ નીચેથી લાશ મળતા પરિવાર સ્તબ્ધપરિવાર અને સ્થાનિકો સતત શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે આજે 22 માર્ચની સવારે ધરાશાયી થયેલા ઝાડ નીચેથી મુકેશકુમારનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતદેહને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતક પોતાની પાછળ પત્ની અને 7 વર્ષના માસૂમ પુત્રને વિલાપ કરતા છોડી ગયા છે. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર મૃતકની પત્નીએ પોલીસ અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. 'પોલીસે વહેલી તપાસ કરી હોત તો કદાચ પતિ જીવતા હોત'તેમણે જણાવ્યું કે, મેં ગુમ થયાની ફરિયાદ આપી હતી, છતાં પોલીસે યોગ્ય તપાસ ન કરી. જો ઝાડ નીચે તાત્કાલિક તપાસ કરવામાં આવી હોત તો મારા પતિનો જીવ બચી શક્યો હોત. પત્નીએ હવે ઘરના મોભી ગુમાવ્યા બાદ પ્રશાસન પાસે આર્થિક સહાય અને વળતરની માંગ કરી છે. મિની વાવાઝોડાએ લીધો કુલ 3 લોકોનો ભોગસુરતમાં 19 માર્ચે આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. મુકેશકુમારના મોત સાથે આ વાવાઝોડાને કારણે મૃત્યુઆંક વધીને 3 પર પહોંચ્યો છે. સ્થાનિકોમાં પણ વહીવટી તંત્રની ઢીલી કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો મનપાનું લોંખડનું બોર્ડ પડતા યુવકનું કમકમાટીભર્યું મોત 19 માર્ચે સુરતમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ શહેરભરમાં ભારે તારાજી સર્જી હતી. આ કુદરતી આફત એક યુવક માટે કાળ બનીને આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાનું બોર્ડ પડવાને કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે. શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયેલા તેજ પવન અને મીની વાવાઝોડાએ સુરતને બાનમાં લીધું હતું. ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ, પતરા અને વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની. (વાંચો સંપૂર્ણ સમાચાર) સુરતમાં મીની વાવાઝોડાએ યુવકનો ભોગ લીધો રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના સામે આવી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:13 pm

મોરવા હડફ-અમદાવાદ નવી ST બસ સેવા શરૂ:મોરવા હડફના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને રાહત

પંચમહાલ જિલ્લાના મોરવા હડફથી અમદાવાદ વચ્ચે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરા બસ સ્ટેશન ખાતેથી આ બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ નવી બસ સેવા મોરવા હડફ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોને સીધા અમદાવાદ સાથે જોડશે. આનાથી અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને અમદાવાદ સુધીની મુસાફરીમાં નોંધપાત્ર રાહત મળશે. આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, સામાન્ય જનતાની પરિવહન ક્ષેત્રે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. આ નવી બસ સેવા શરૂ થતા સ્થાનિક રહીશોમાં સંતોષ જોવા મળ્યો છે. હવે તેમને અમદાવાદ જવા માટે ખાનગી વાહનો કે અન્ય મુશ્કેલ રૂટ પર નિર્ભર રહેવું પડશે નહીં.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:10 pm

જોષીપરામાં લાખોની ચોરી.:ધોળા દિવસે જોષીપુરામાં બંધ મકાનના તાળાં તોડી 15 લાખની મત્તા સાફ, દીકરીના લગ્ન માટે જોડેલી 20 વર્ષની કમાણી તસ્કરો લઈ ઉડ્યા.

​જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં ધોળા દિવસે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જયસુખભાઈ રૂપાપરાનો પરિવાર જ્યારે સવારે પોતાના કુળદેવતા સુરાપુરા બાપાના મંદિરે દર્શન કરવા ગયો હતો, ત્યારે માત્ર બે કલાકના ગાળામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી છે. તસ્કરોએ મકાનના તાળાં અને બારીઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી રોકડ તથા સોનાના દાગીના પર હાથફેરો કર્યો હતો. ​ભોગ બનનાર મકાન માલિક જયસુખભાઈ રૂપાપરાએ રડમસ અવાજે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમે સવારે સવા દસ વાગ્યે સુરાપુરા દાદાને પગે લાગવા ગયા હતા. સવા બાર વાગ્યે જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ઘરના તાળાં અને બારીઓ તૂટેલી હાલતમાં હતી. ઘરમાં તપાસ કરતા માલુમ પડ્યું કે દીકરીના લગ્ન માટે વર્ષોથી ભેગી કરેલી 9 લાખ રૂપિયાની રોકડ અને અંદાજે 7 તોલા સોનાના ઘરેણાં (પાટલા અને વીંટીઓ) તસ્કરો ચોરી ગયા છે. આ અમારી ત્રણ ભાઈઓની 20 વર્ષની મહેનતની કમાણી હતી જે તસ્કરો મિનિટોમાં સાફ કરી ગયા. ​ઘટનાની જાણ થતા જ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ગોકુલધામ સોસાયટી ખાતે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને મકાનનું પંચનામું કર્યું છે. તસ્કરોને પકડવા માટે પોલીસે સોસાયટીના અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે, કારણ કે પરિવાર ક્યારે બહાર જાય છે તેની ચોક્કસ માહિતી તસ્કરો પાસે હોય તેવું જણાય છે. ​જયસુખભાઈએ પોલીસને વિનંતી કરી છે કે આ કેસમાં કડક તપાસ કરવામાં આવે, કારણ કે ચોરાયેલી રકમ માત્ર પૈસા નથી પણ તેમના પરિવારના ભવિષ્યના સપનાઓ છે. ધોળા દિવસે થયેલી આ ચોરીને પગલે જોષીપુરા વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા હાલ અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:08 pm

પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાંથી રહસ્યમય ભોયરું મળ્યું:18 હજારમાં સંતાન પ્રાપ્તિ અને આયુર્વેદીકના નામે નકલી દવા વેચતો, સગીરને અર્ધનગ્ન કરી સુષુમ્ણા નાડીનું રહસ્ય સમજાવતો વીડિયો મૂકતો

સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમમાં નકલી ચલણી નોટનાં રેકેટમાં પકડાયેલા યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાએ અંદરની ગતિવિધીઓ ગુપ્ત રાખવા માટે આશ્રમની ચોમેર 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી હતી. તેમજ આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે જ અન્ય ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ 15થી 18 રૂપિયા લઈને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો. આશ્રમની સાધીકાઓ ગુરૂજીને ફસાવ્યા હોવાનું રટણ કરતી જોવા મળીયોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાની કારમાંથી બે કરોડથી વધુની 500 રૂપિયાનાં દરની બનાવટી ચલણી નોટો મળી આવતા રાજ્ય વ્યાપી પ્રત્યાઘાત બાદ ધોરણ પારડી સ્થિત આશ્રમમાં આવેલી ઓફિસને છેલ્લા બે દિવસથી સાધકો દ્વારા તાળા મારી દેવામાં આવ્યા હતા. તેમજ આશ્રમ પરિસરમાંથી ઈનોવા, થાર જેવી લક્ઝરી ગાડીઓ પણ ગાયબ થઈ ગઈ છે. આશ્રમની સાધીકાઓ ગુરૂજીને ફસાવવામાં આવ્યા હોવાનું સતત રટણ કરતી જોવા મળી હતી. ઓપરેશન થિયેટર અને લેબ નીચેથી રહસ્યમય ભોંયરું મળ્યુંસાધીકાઓએ એવો દાવો કર્યો હતો કે, અગાઉ ગામનાં કેટલાક લોકોએ આશ્રમમાં આવતી યુવતીઓ સાથે છેડતી કરી હોવાથી આશ્રમમાં ગ્રામજનોનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે પ્રદીપની ધરપકડ કરવામાં આવતા ગ્રામજનો જ્યારે આશ્રમની અંદર પહોંચ્યા ત્યારે ઓપરેશન થિયેટર અને લેબની નીચેથી બીજું એક રહસ્યમય ભોંયરું મળી આવ્યું હતું. ગ્રામજનોએ ભોંયરાની અંદર પ્રવેશવાનું સાહસ ન કર્યું 15થી 20 ફૂટ ઊંડું અને 15થી 20 ફૂટ લંબાઈ ધરાવતા આ ભોંયરાને પહેલા ઢાંકણથી કવર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ઉપર ટાઇલ્સ પણ લગાવી દેવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા ટાઈલ્સ ઉખેડીને ઢાંકણ ખોલવામાં આવતા રહસ્યમય ભોંયરું મળી આવ્યું હતું. જોકે ગ્રામજનો એ કોઈપણ એ આ ભોંયરાની અંદર પ્રવેશ કરવાનું સાહસ કર્યું ન હતું. દરમિયાન સાધકો આવી જતા તમામ ગ્રામજનો બહાર આવી ગયા હતા અને ત્યારબાદ આશ્રમને તાળા મારી દેવામાં આવ્યા છે. સગીરને અર્ધનગ્ન કરીને સુષુમ્ણા નાડીનું રહસ્ય સમજાવતો વીડિયો મુક્યોકામરેજનાં ધોરણ પારડી ખાતે આશ્રમ ધરાવતા કહેવાતા યોગ ગુરૂ પ્રદીપનાં પાપનુ પોટલું દિનપ્રતિદિન ખુલી રહ્યું છે. પ્રદીપનાં વધુ કારનામાઓ સામે આવ્યા હતા. ધોરણ-12 પાસ હોવા છતા યુટ્યુબનાં સહારે ડોક્ટરની ડિગ્રી વિના કેન્સર અને હાર્ટ અટેકની જોખમી સારવાર કરવા સુદ્ધાનાં પ્રદીપ ઉપર આરોપો મુકવામાં આવ્યા છે. આ સાથે જ એક સગીરને અર્ધનગ્ન કરીને સુષુમ્ણા નાડીનું રહસ્ય ઓનલાઇન વીડિયો મૂકીને જણાવતો પણ સામે આવી રહ્યો છે. જ્યારે જાહેરમાં પોતાના સંબોધનમાં પ્રાઇવેટ પાર્ટ અને તેના લગતા વસ્તુઓનો સમાવેશ કરતો હતો. આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતોપ્રદીપ ગુરુ બજારમાં મળતી જાણીતી આયુર્વેદીક કંપનીની દવાઓ ખરીદીને ડબ્બામાંથી તેમની દવા કાઢી લેતો હતો. તેના બદલે તે પોતાની હલકી ગુણવત્તાવાળી દવા તેમાં ભરીને વેચતો હતો. એટલું જ નહીં જે ઓરીજીનલ દવા તે કાઢતો હતો તેના ચારથી પાંચ જેટલા ભાગ કરીને તે પોતાના જ સાધકોને અને આશ્રમમાં આવતા લોકોને પોતાની દવા છે તેમ કહી ત્રણથી ચાર ગણી કિંમતે વેચતો હતો. માત્ર પૈસા કમાવવાની માનસિકતા સાથે આશ્રમ શરૂ કરનાર પ્રદીપ ગુરુ આશ્રમમાં જે શિબિરનું આયોજન કરતો હતો ત્યાં મુંબઈ અને અને અન્ય મોટા શહેરોમાંથી લોકો આવતા હતા. પાખંડી પ્રદીપ ગુરુ ગર્ભ સંસ્કારની શિબિર કરતોપ્રદીપ ગુરુએ તેના જ નજીકના લોકોના સંબંધીઓને સંતાન પ્રાપ્તિની ચમત્કારીક દવા પણ રૂ. 15થી 18 હજારમાં આપી હોવાનું જાણવા મળ્યું છે. નજીકના લોકો માટે સંતાન પ્રાપ્તિની શિબિર પણ કરાવવામાં આવતી હતી. આ સાથે જ તે ગર્ભ સંસ્કારની શિબિર પણ કરતો હોવાનું સામે આવ્યું છે. જેના વીડિયો પણ તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુક્યા છે. 'સંતાન પ્રાપ્તિ માટે અમે પ્રદીપ ગુરુજીની ટ્રીટમેન્ટ અને ઉપચાર શરૂ કર્યા'એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારા મેરેજ થયાને પાંચ વર્ષ થઈ ગયા છે. અમે ડોક્ટર પાસેથી ટ્રીટમેન્ટ લેતા હતા પણ ડોક્ટરનું એવું કહેવું હતું કે તમારે સંતાન પ્રાપ્તિમાં પ્રોબ્લેમ થાય એમ છે. મારે પાંચ વર્ષથી કોઈ પણ સંતાન હતું નહીં. પાંચ વર્ષથી હું ડોક્ટરની ટ્રીટમેન્ટ લેતી હતી પણ કોઈ રિઝલ્ટ નહોતું. ડોક્ટરે ના પાડી દીધી હતી કે તમારે કોઈ સંતાન નહીં થાય. પછી અમને શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનનું એડ્રેસ આપેલું. તો અમે ત્યાં જઈને પ્રદીપ ગુરુજીને મળ્યા. અત્યારે ત્યાંથી અમારી ટ્રીટમેન્ટ ચાલુ હતી કુદરતી ઉપચાર અને યોગ અનુસાર. '2017માં યોજાયેલી ગર્ભધારણ શિબિર જોઈન કરી હતી'ગર્ભધારણ શિબિરમાં ભાગ લેનાર એક મહિલાએ જણાવ્યું હતું કે, હું હાલ હીરાબાગ વિસ્તારમાં રહું છું. 2017માં પૂજ્ય ગુરુદેવ દ્વારા યોજાયેલી ગર્ભધારણ શિબિર મેં જોઈન કરી હતી. ત્યાં મને ગર્ભધારણ વિશે જે પણ સંસ્કારો મળ્યા એનું મેં પાલન કર્યું હતું. ક્યારે ગર્ભધારણ કરવું, ગર્ભધારણ સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બધી વસ્તુનું મેં પાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:01 pm

ખાડીના રસ્તે ગાંજાની હેરાફેરી:બિહારથી 9 કિલો ગાંજો લઈને સુરત પહોંચેલા બે કિશોર ઝડપાયાl; 4 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેરને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા શરૂ કરવામાં આવેલા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ ઉધના પોલીસે સફળતા હાંસલ કરી છે. શહેરના માર્ગો પર નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા કડક બંદોબસ્ત અને બાતમીદારોના નેટવર્કને કારણે લાખોની કિંમતો નશીલો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરો પાસેથી અંદાજે 4.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બાતમી મળતા વોચ ગોઠવીમળતી માહિતી મુજબ, ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના જીવનદિપસિંહ ઘનશ્યામસિંહને એક ચોક્કસ અને વિશ્વાસુ બાતમી મળી હતી. બાતમી મુજબ, બે અજાણ્યા શખ્સો પોતાના કબજામાં માદક પદાર્થ ભરેલી બેગો લઈને ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલી એલ.એન. પાર્ક સોસાયટીની પાછળ ખાડીના રસ્તેથી માર્કેટ તરફ પસાર થવાના હતા. આ માહિતી મળતા જ પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને નિર્ધારિત સ્થળે વોચ ગોઠવી દીધી હતી. બાતમીમાં વર્ણવેલા શખ્સો પસાર થતા જ પોલીસે તેમને અટકાવી તેમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાંજાના જથ્થા સાથે બે કિશોર ઝડપાયાતલાશી દરમિયાન આ કિશોરો પાસેથી બે અલગ-અલગ બેગમાં ભરેલો કુલ 9.08 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 4,54,000રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે તેમની પાસેથી આઠ હજારની કિંમતના બે મોબાઈલ ફોન અને બે ટ્રેન ટિકિટો સહિત કુલ 4,62,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને કિશોરો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8(સી), 20(બી) અને 29 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. ખાડીવાળા રસ્તેથી આવતા હોવાની માહિતી મળી હતીઃ DCP ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હ્યુમનસોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાઠેના એરિયા છે, એમાં એલ.એન. પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે, એ ખાડીવાળા રસ્તેથી થઈને બે ઇસમ નીકળવાના છે, જે આ NDPSનો ગાંજાનો અથવા તો જે NDPSનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે. બબલુ કુમારને માલ પહોંચાડાવાની કબૂલાતજે બંનેને રાઉન્ડ અપ કર્યા છે અને પૂછપરછ કરી, તો એ બંને બાળ કિશોર છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે. જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશનકુમાર જે સીતામઢીનો છે, એણે આ ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે, ઉધના વિસ્તારમાં જઈને હરિનગર સોસાયટી છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે એમને આ આપવાનો છે. કિશોર થોડા દિવસ પહેલાં જ 20 કિલો ગાંજો મુંબઈ આપવા ગયો હતોતેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે બે કિશોર છે, એમની સામે અમે આગળની કાર્યવાહી કરી છે. જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું. પ્રાઈમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે, એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે, એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલા 20 કિલો ગાંજો લઈ અને મુંબઈ પણ આપવા ગયો હતો. એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે, જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનો જે આરોપી છે, એને પણ અમે અટક કરીશું.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 4:01 pm

દુધરેજ પાસે ગંભીર અકસ્માત:બલેનો કારે 2 બાઇકને ટક્કર મારતા 2 યુવાનના મોત, 2 ઘાયલ

સુરેન્દ્રનગરના દુધરેજ માતોશ્રી પાર્ટી પ્લોટ નજીક આજે (22 માર્ચ) વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધાંગધ્રા તરફથી આવી રહેલી બલેનો કારે બે મોટરસાયકલને ટક્કર મારી હતી, જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયા હતા અને અન્ય બે યુવાનો ઘાયલ થયા હતા. મૃતકોમાં દુધરેજના નાથુભાઈ ડાયાભાઈ કલોત્રા (ઉંમર 26) અને મહેશભાઈ જેઠાભાઈ કડ (ઉંમર 25) નો સમાવેશ થાય છે. નાથુભાઈ કલોત્રાનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું, જ્યારે મહેશભાઈ કડને ગંભીર ઈજાઓ થતાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતક નાથુભાઈ કલોત્રાએ તાજેતરમાં પોલીસ ભરતીની દોડની પરીક્ષા પાસ કરી હતી. બંને મિત્રોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.આ અકસ્માતમાં અન્ય બે મોટરસાયકલ સવારોને પણ ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:50 pm

મોડી રાત સુધી ડીજેના તાલે ગુંજ્યું મેડિકલ કોલેજ કેમ્પસ.:જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પાસે રાત્રે 2 વાગ્યા સુધી ડીજેના ઘોંઘાટથી દર્દીઓ પરેશાન, વીડિયો વાયરલ થતા વિવાદ, ડીને કહ્યું વરસાદ હોવાથી એન્યુઅલ ફંકશન મોડુ શરૂ કરાયું

​જૂનાગઢની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ગત 20 માર્ચના રોજ યોજાયેલી એન્યુઅલ ફંકશન અને ફેરવેલ પાર્ટી વિવાદના વમળમાં ફસાઈ છે. સામાન્ય રીતે રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે ડીજે વગાડવા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે, પરંતુ અહીં ભાવિ તબીબો જ તમામ નીતિ-નિયમો ભૂલીને મોડી રાતના 2 વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ કોલેજની બિલકુલ નજીક જ સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં ગંભીર બીમારીઓથી પીડાતા સેંકડો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો વાયરલ વીડિયોને લઈને ડીને કહ્યું તે દિવસે વરસાદ હોવાથી એન્યુઅલ ફંકશન મોડુ શરૂ કરાયું હતું. પરંતુ દર્દીઓને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય જેને લઇ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ​દર્દીઓની પરવા વગર મધરાત સુધી ચાલ્યો જલસો ​મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડીજેના અતિશય અવાજ અને ધ્રુજારીને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જે વિદ્યાર્થીઓ આગામી સમયમાં દર્દીઓની સેવા કરવાના શપથ લેવાના છે, તેઓ જ હોસ્પિટલના શાંતિના ઝોન (Silence Zone) માં મોડી રાત સુધી ઘોંઘાટ કરતા હોવાથી સ્થાનિકોમાં અને સોશિયલ મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વીડિયો વાયરલ થતા મેડિકલ કોલેજના તંત્રની શિસ્ત પર અનેક સવાલો ઊભા થયા છે. ​ડીનનો બચાવ: વરસાદને કારણે મોડું થયું, ​આ સમગ્ર વિવાદ અંગે જ્યારે જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ડો. આમ્ટે સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે આશ્ચર્યજનક બચાવ કરતા જણાવ્યું હતું કે, આ ફંકશન બે દિવસ પહેલાંનું છે. તે દિવસે વરસાદ હોવાના કારણે કાર્યક્રમ મોડો શરૂ કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ઘણો હતો, પરંતુ અમે પૂરતો ખ્યાલ રાખ્યો હતો કે બાજુમાં આવેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓને કોઈ તકલીફ ન પડે. મેં રૂબરૂ જઈને તપાસ કરી હતી અને હોસ્પિટલ સુધી અવાજ જતો નહોતો. ​તંત્ર સામે સવાલો: શું ઉત્સાહ કાયદાથી ઉપર છે ? ​ભલે કોલેજ તંત્ર અવાજ ન જતો હોવાનો દાવો કરતું હોય, પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં ડીજેનો પ્રચંડ અવાજ સ્પષ્ટપણે સંભળાય છે. સવાલ એ ઊભો થાય છે કે શું શિક્ષણ સંસ્થામાં રાત્રે 12 વાગ્યા પછી ડીજે વગાડવાની મંજૂરી કોણે આપી ? હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં મોડી રાત સુધી આવો ઘોંઘાટ કરવો કેટલો વ્યાજબી છે ?જો સામાન્ય નાગરિકો માટે નિયમો કડક હોય, તો મેડિકલ કોલેજના છાત્રો માટે કેમ છૂટછાટ ? ​હાલમાં આ મુદ્દે શહેરમાં ચર્ચાઓ તેજ બની છે અને લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં હોસ્પિટલની શાંતિ જોખમાય નહીં.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:49 pm

દીપકચોકમાં યુવતી પરની ટિપ્પણીને લઈ બબાલ:ફોન પર બોલાચાલી બાદ ચાર શખસે ફરિયાદીના ઘરે પહોંચી પથ્થરમારો કર્યો, ધમકી પણ આપી

ભાવનગર શહેરના દીપકચોક વિસ્તારમાં રાત્રિના સમયે એક યુવતી અંગે કરવામાં આવેલી ટિપ્પણી અને અપશબ્દો બોલવા મુદ્દે યુવતીના ભાઈ સાથે થયેલી ફોન પર વાતચીત દરમિયાન શખસે આપેલા પડકારને પગલે વિવાદ ઉગ્ર બન્યો હતો. જેના પરિણામે 4 શખસે યુવતીના ઘરની બહાર આવી ધમકી આપી પથ્થરમારો કર્યો હતો. સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં ચાર સામે ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીએ યુવકને ફોન કરી બહેર વિશે અપશબ્દો કહ્યાંશહેરના દીપકચોક વિસ્તારમાં રહેતા 70 વર્ષીય મંગુબેન સામજીભાઈ વડોદરિયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગતરાત્રે તેમના ઘરે પરિવારજનો હાજર હતા, ત્યારે તેમના દીકરાના દીકરા (પૌત્ર) અમીતના મોબાઇલ પર તીલકનગર દેવીપુજકવાસમાં રહેતા ગોપાલ ઉર્ફે મુન્નો રાજુભાઈ મકવાણાનો ફોન આવ્યો હતો. ફોન પર અમીતની બહેન અંગે ગોપાલે ટિપ્પણી કરી અપશબ્દો બોલી “હું હમણાં તારા ઘરે આવું છું” કહીને ધમકી આપી હતી. તેના જવાબમાં અમીતે પણ “તું આવી જા” કહેતા વાત વધુ ઉગ્ર બની હતી. આરોપીઓએ ફરિયાદીના ઘરે પહોંચી પથ્થર માર્યો કર્યોત્યારબાદ ગોપાલ ઉર્ફે મુન્નો રાજુભાઈ મકવાણા, પરેશ પ્રતાપભાઈ મકવાણા, દીપક દિલુભાઈ ચુડાસમા અને વિશાલ વિનોદભાઈ મકવાણા બે મોટરસાયકલ પર આવી મંગુબેનના ઘરની બહાર ઊભા રહી ગાળો બોલી લાકડીઓ સાથે ધમકાવવા લાગ્યા હતા. પરિવારજનો ભયભીત થઈ ઘરમાં બંધ થયા બાદ આરોપીઓએ ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો અને “આજે તો બચી ગયા, ફરી મળશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી ભાગી ગયા હતા. પોલીસ ફરિયાદ દાખલઆ મામલે પોલીસે ગોપાલ ઉર્ફે મુન્નો રાજુભાઇ મકવાણા, પરેશ પ્રતાપભાઈ મકવાણા, દિપક દિલુભાઈ ચુડાસમા, વિશાલ વિનોદભાઈ ચુડાસમા તમામ ભાવનગરના રહેવાસીઓ સામે BNS કલમ 351(3), 352, 54 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:48 pm

ગોધરા કોર્ટ ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ વકીલોના ટેબલમાંથી ચોરી કરનાર આરોપીને ઝડપ્યો

પંચમહાલ જિલ્લાના ગોધરામાં કોર્ટ બિલ્ડિંગમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સ્થાનિક LCB ટીમે વકીલોના ટેબલમાંથી ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ગત 3 માર્ચના રોજ ગોધરા ફોજદારી અદાલતના ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કર્યો હતો. તેણે પાંચ વકીલોના ટેબલના લોક તોડી ડ્રોઅરમાંથી મહત્વના કાગળો અને સિક્કાઓની ચોરી કરી હતી. ન્યાયના ધામમાં થયેલી આ ચોરીની ઘટનાથી વકીલ આલમ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ મામલે કોર્ટના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ LCB ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી સંજયસિંહ જસવંતસિંહ પરમારને વેજલપુરના મઢુલી હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. તેની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:44 pm

ચીખલી પોલીસે ₹5.57 લાખનો દારૂ ઝડપ્યો:બલેનો કારમાંથી 660 બોટલ મળી, એક ઝડપાયો, બે વોન્ટેડ

નવસારી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા પોલીસ સતર્ક બની છે. ચીખલી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર મજીગામ ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી એક બલેનો કારને ઝડપી પાડી છે. પોલીસે કુલ ₹5.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે કારમાંથી વ્હીસ્કી, બિયર અને વોડકા સહિતની કુલ 660 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹2,52,240 આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹3,00,000 ની કિંમતની બલેનો કાર અને ₹5,000 નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ભરૂચના વાલીયામાં રહેતા અનિલ રમેશભાઈ બૈશાની નામના આરોપીની ધરપકડ કરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને નવસારી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ચીખલી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એસ. કોરાટના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે એક ગ્રે કલરની બલેનો કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મજીગામ ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી. મુંબઈથી અમદાવાદ તરફ જતી ગ્રે કલરની મારૂતિ સુઝુકી બલેનો કાર (નંબર-GJ-16-CH-5238) ને અટકાવી તપાસ કરતા તેમાંથી 19 પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાં વ્હીસ્કી, ટીન બિયર અને વોડકાની કુલ 660 બોટલો ભરેલી હતી. ઝડપાયેલા આરોપી અનિલ રમેશભાઈ બૈશાનીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ દારૂનો જથ્થો વલસાડના જીગો પટેલે ભરાવી આપ્યો હતો અને તે વાલીયાના મહેશ ઉર્ફે મસો વસાવાને પહોંચાડવાનો હતો. ચીખલી પોલીસે આ બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:36 pm

જંબુસરમાં મિક્સર ટ્રક અકસ્માતમાં બાળકીનું મોત:સેવ-ઉસળની દુકાન, એક ટ્રેક્ટર અને બે બાઈકને અડફેટે લીધા, ટ્રકચાલક ફરાર

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકુઈ ગામ નજીક વડોદરા હાઈવે પર સિમેન્ટ મિક્સર ટ્રકના અકસ્માતમાં 11 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બસ સ્ટેન્ડ પાસે થયો હતો, જેમાં દાહોદ જિલ્લાના એક મજૂર પરિવારને ટ્રકે અડફેટે લીધો હતો. મૃતક બાળકીનું નામ હેતલ છત્રાભાઈ છે. ટ્રકે લોકોને અડફેટે લેવા ઉપરાંત નજીકમાં આવેલી સેવ-ઉસળની દુકાન, એક ટ્રેક્ટર અને બે બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં મૃતક બાળકીની બહેન, અન્ય એક બાળક અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક વાહન સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને જંબુસર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી ગંભીર હાલતમાં એક મહિલા અને એક બાળકને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફરાર થયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:33 pm

વેરાવળમાં 5 કલાકનો પાવર કટ:અંડરગ્રાઉન્ડ કેબલકામગીરીથી અનેક વિસ્તારો પ્રભાવિત

વેરાવળ શહેરમાં વીજ પુરવઠા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીના કારણે સોમવાર, 23 માર્ચ 2026 ના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં પાંચ કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલના વેરાવળ પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર ડોડીયાએ આપેલી માહિતી મુજબ, સવારે 9:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી 11 કેવી વિદ્યુત નગર ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. નાગરિકોને આ અસુવિધા બદલ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 60 ફૂટ રોડ, 66kV પાછળનો વિસ્તાર, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, દેવ પાર્ક રોડ, સરદાર સોસાયટી, વાણંદ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ, ગોલારાણા, પંચવટી વિસ્તાર, ગીતાનગર-2, શ્રીપાલ સોસાયટી, હવેલી પાછળનો વિસ્તાર, સમૃદ્ધ પાર્ક, મહિલા કોલેજ રોડ, ગંગાનગર રોડ, વૃજ રેસીડેન્સી (જાગનાથ નગર), શ્રી શ્રી પાર્ક, સાઈધામ સોસાયટી, અને ગોકુલધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તંત્રના જણાવ્યા અનુસાર, અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો થશે. આનાથી વારંવાર થતા ફોલ્ટ અને વીજ ખંડિત થવાની સમસ્યામાં ઘટાડો થશે, જે શહેરના આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ખાસ નોંધનીય છે કે સમારકામ કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈપણ પૂર્વ સૂચના વિના તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે. તેથી, નાગરિકોને વીજ ઉપકરણો અંગે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. પીજીવીસીએલના નાયબ ઈજનેરે નાગરિકોને વિનંતી કરી છે કે આ સમયગાળા દરમિયાન જરૂરી આયોજન કરી સહકાર આપે, જેથી વિકાસલક્ષી કામગીરી સમયસર પૂર્ણ થઈ શકે અને ભવિષ્યમાં વધુ સુવ્યવસ્થિત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થઈ શકે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:17 pm

સાંસદે CSને મહાભારતના વિદુર સાથે સરખાવ્યા:ICSIના વડોદરા ચેપ્ટરના સ્થાપના દિવસની ઉજવણી, રાષ્ટ્રીય પ્રમુખે કહ્યું- વિશ્વના 1.30 લાખ CSમાંથી 80 હજાર ભારતમાં જ છે

ICSIના વડોદરા ચેપ્ટરના 48માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ICSIના નેશનલ પ્રેસિડેન્ટ CS પવન ચાંડક, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CS રાજેશ તારપરા અને આશીષ કરોડિયા અને WIRC ચેરમેન CS યોગેશ ચૌધરી હાજર રહ્યા હતા. આ ઉપરાંત 200થી વધારે CS મેમ્બર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ સાંસદ ડૉ. હેમાંગ જોષીએ CSને મહાભારતના વિદુર સાથે સરખાવ્યા હતા. વડોદરા ચેપ્ટરના પૂર્વ ચેરમેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે ICSIના વડોદરા ચેપ્ટરનો 48મો સ્થાપના દિવસ છેICSIના નેશનલ પ્રેસિડેન્ટ CS પવન ચાંડક એ જણાવ્યું હતું કે, આજે અમે બધા CS વડોદરામાં ભેગા થયા છીએ કારણ કે, આજે ICSIના વડોદરા ચેપ્ટરનો 48મો સ્થાપના દિવસ છે. આ એક ગર્વની ક્ષણ છે અને આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ICSI એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જે કંપની સેક્રેટરી (CS) ના વ્યવસાયનું નિયમન કરે છે. અમારી સાથે 80,000થી વધુ સભ્યો અને 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં અમારા 77 ચેપ્ટર્સ અને 4 રિજનલ કાઉન્સિલ છે. ભારત બહાર પણ અમારા 6 ઓવરસીઝ સેન્ટર્સ કાર્યરત છે. અત્યારે અમારી સાથે 80,000થી વધુ સભ્યો અને 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. કંપની સેક્રેટરી એ 'ગવર્નન્સ' અને 'કોમ્પ્લાયન્સ' પ્રોફેશનલ્સ છે. કોર્પોરેટ ઇન્ડિયાને સર્વિસ પૂરી પાડવામાં અને તેમને કાયદાકીય રીતે સુરક્ષિત રાખવામાં CS ની ભૂમિકા અત્યંત મહત્વની છે. વિશ્વભરમાં અંદાજે 1,30,000 કંપની સેક્રેટરી છે, જેમાંથી 80,000 તો માત્ર ભારતમાં જ છેતેઓએ કહ્યું કે, ભારત અત્યારે અર્થતંત્રમાં 11મા ક્રમેથી 4થા ક્રમે આવી ગયું છે, જેમાં કોર્પોરેટ સેક્ટરનો મોટો ફાળો છે. કંપનીએ ક્યારે IPO લાવવો, ક્યારે મર્જર કે એમાલગમેશન કરવું, ફોરેન માર્કેટમાં ક્યારે પ્રવેશ કરવો. આ તમામ વ્યૂહાત્મક નિર્ણયોમાં CS માર્ગદર્શન આપે છે. વિશ્વભરમાં અંદાજે 1,30,000 કંપની સેક્રેટરી છે, જેમાંથી 80,000 તો માત્ર ભારતમાં જ છે. આ દર્શાવે છે કે આ વ્યવસાયમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. શાળાઓ અને કોલેજોમાં જઈને ‘કરિયર અવેરનેસ’ના કાર્યક્રમો કરીએ છીએતેઓએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓમાં CS કોર્સ પ્રત્યે જાગૃતિ લાવવા માટે માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. અમે વિવિધ શહેરોમાં કોન્ટેક્ટ સેન્ટર્સ ખોલ્યા છે. શાળાઓ અને કોલેજોમાં જઈને ‘કરિયર અવેરનેસ’ના કાર્યક્રમો કરીએ છીએ. અમારી સંસ્થાની સ્થાપના કંપનીઝ એક્ટ 1980 હેઠળ થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી અમે સતત પ્રગતિ કરી છે. વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબ જ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:14 pm

હાલોલના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ બારીયાનું નિધન:વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

પંચમહાલ જિલ્લાના રાજકારણમાં ઊંડું સ્થાન ધરાવતા અને હાલોલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ મોહનસિંહ બારીયાનું આજે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી પિતાશયની બીમારીને કારણે સારવાર હેઠળ હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉદેસિંહ બારીયાએ માત્ર 27 વર્ષની નાની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પંચમહાલના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને જિલ્લાના રાજકારણમાં તેમની આગવી ઓળખ બનાવી હતી. વર્ષ 1980માં તેઓ પ્રથમ વખત હાલોલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1980 થી 2002 સુધી સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. તેમણે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની સરકારમાં કાયદામંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી. ઉપરાંત, સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીની સરકારમાં ગ્રામીણ વિકાસ અને વન મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. સંગઠનમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને દક્ષિણ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા હતા. વર્ષ 1989માં તેઓ કોંગ્રેસ પક્ષના નાયબ નેતા તરીકે પણ કાર્યરત હતા. વર્ષ 1953માં જન્મેલા ઉદેસિંહ બારીયાએ L.L.B. સુધીનો અભ્યાસ કર્યો હતો. રાજકારણ ઉપરાંત તેઓ વકીલાત અને ખેતીના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. ટૂંકા સમયગાળા માટે તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ બાદમાં ફરી કોંગ્રેસમાં સક્રિય થયા હતા. સ્વર્ગસ્થ ઉદેસિંહ બારીયાની અંતિમયાત્રા આવતીકાલે, 23 માર્ચ, 2026 (સોમવાર) ના રોજ સવારે 9.00 કલાકે તેમના વતન મુ. ડુમા, તા. જાંબુઘોડા ખાતેના નિવાસસ્થાનેથી નીકળશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:12 pm

સોમનાથ ત્રિવેણી સંગમ પર કાદવ-ધૂળની સમસ્યા:ડ્રેઝિંગ કાર્યની બેદરકારીથી રસ્તા કીચડમય, વેપારીઓ-ભાવિકોમાં રોષ

પ્રભાસ પાટણના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ચાલી રહેલી નદી ડ્રેઝિંગની કામગીરી વિવાદમાં સપડાઈ છે. ડ્રેઝિંગનું કાર્ય લાંબાગાળે યાત્રાધામ માટે ફાયદાકારક હોવા છતાં, હાલમાં તંત્રની ગંભીર બેદરકારીને કારણે સમગ્ર વિસ્તાર કાદવ, કીચડ અને ધૂળના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે. આ અણઘડ અમલવારીને લીધે યાત્રિકો, સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મંકેશ્વર મંદિરથી પ્રજાપતિ ધર્મશાળા સુધી કીચડના થરનદીમાંથી કાઢવામાં આવતો કાંપ અને કચરો મંકેશ્વર મંદિર નજીક એકત્ર કરવામાં આવે છે, જ્યાંથી ટ્રકો મારફતે તેને અન્યત્ર ખસેડાય છે. નિયમ મુજબ આ ટ્રકોને તાલપત્રીથી ઢાંકવી અનિવાર્ય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લી ટ્રકોમાં જ કાદવ વહન કરવામાં આવતા માર્ગો પર ગંદકી ફેલાઈ રહી છે. મંકેશ્વર મંદિરથી પ્રજાપતિ ધર્મશાળા સુધીનો મુખ્ય માર્ગ કાદવમય બની ગયો છે, જેના પર ચાલવું યાત્રિકો માટે દુષ્કર બન્યું છે. વેપારીઓમાં રોષ ત્રિવેણી સંગમ વિસ્તારના વેપારીઓએ આ સ્થિતિ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ટ્રકોની સતત અવરજવરથી ઉડતી ધૂળ દુકાનોમાં રાખેલા માલસામાન પર જામી રહી છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ, સતત પ્રદૂષિત વાતાવરણને લીધે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં શ્વાસ સંબંધિત બીમારીઓ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા ક્યારેક પાણીનો છંટકાવ કરવામાં આવે છે, પરંતુ ભારે ટ્રાફિક અને સતત વહેતા કાદવ સામે તે ઉપાય નિરર્થક સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓ વકરી રહેલી સમસ્યાને જોતા સ્થાનિકો અને ભાવિકોએ તંત્ર સમક્ષ કેટલીક માંગણીઓ કરી છે: પવિત્ર ત્રિવેણી સંગમ જેવા સંવેદનશીલ સ્થળે વહીવટી તંત્રની આવી શિથિલતા યાત્રિકોની આસ્થા અને સુવિધા સાથે ચેડા સમાન છે. જો આગામી દિવસોમાં સત્વરે પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 3:08 pm

હિંમતનગર પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસતા અકસ્માત:કેબિનમાં ફસાયેલા ચાલકને ફાયર વિભાગે બચાવ્યો, એક ટ્રકનો ચાલક ફસાઈ ગયો હતો

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર રવિવારે બપોરે પીપલોદી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી જતાં અકસ્માત થયો હતો, જેમાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હિંમતનગર ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર તાલુકાના પીપલોદી સ્ટેન્ડ નજીક નેશનલ હાઈવે નંબર 08 પર અમદાવાદ તરફથી હિંમતનગર તરફ જઈ રહેલી ટ્રકમાં અકસ્માત થયો હતો. ટ્રક નંબર RJ 27 GF 2946 નો ચાલક કેબિનમાં ફસાયો હતો. ફાયર ટીમે લગભગ 20 મિનિટની જહેમત બાદ કેબિનનું પતરું કાપીને ટ્રક ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ચાલકને પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 2:31 pm

વાલીઓને રાહત, નવા સત્રથી સ્કૂલ વાન-રિક્ષાના ભાડા નહીં વધે:સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં મોટો નિર્ણય, 2024માં નક્કી કરાયેલા ભાડા જ યથાવત રહેશે

યુદ્ધ જેવી પરિસ્થિતિ અને વધતી મોંઘવારી વચ્ચે અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો નહીં કરવાની જાહેરાત કરી છે. નવા શૈક્ષણિક સત્ર દરમિયાન અત્યારે જે ભાડું ચાલે છે તે જ ભાડું યથાવત રહેશે. જેથી મોઘવારી વચ્ચે વાલીઓને આર્થિક ભારમાંથી રાહત મળશે. જો CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો એસોસિએશન દ્વારા બેઠક બોલાવી વાલીઓના હિતમાં જ નિર્ણય લેવાનો નક્કી કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન-રિક્ષામાં ભાડા વધારો નહીં કરવા નિર્ણયયુદ્ધની સ્થિતિ વચ્ચે અનેક ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. તેમજ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પણ વધારો થતા લોકોને આર્થિક મુશ્કેલીઓ પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. જે વચ્ચે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરના આગેવાનોની હાજરીમાં એસોસિએશનની જનરલ બેઠક યોજાઈ હતી. જેમાં હાલની મોંઘવારી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી. પાલડીમાં આવેલા નરોત્તમ ઝવેરી હોલ ખાતે મળેલી આ બેઠકમાં સહમતિથી એવો નિર્ણય લેવાયો છે કે નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે. આ નિર્ણય ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ઘરખર્ચમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં થયેલા વધારા છતાં, વાલીઓ પર વધારાનો બોજ ન આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં ફરીથી ભાડામાં વધારો કરવો યોગ્ય નહીં ગણાતા, એસોસિએશને જૂના ભાડા જ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જૂન-2024માં નક્કી કરાયેલો દર જ અમલી રહેશે11 જૂન 2024ના રોજ જે ભાડા નક્કી કરવામાં આવ્યા હતા, તે જ દર યથાવત રાખવામાં આવશે. જે આ વર્ષ ભાડામાં વધારો વાલીઓ પર આર્થિક ભાર ન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ જો યુદ્ધની સ્થિતિ વચ્ચે CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો ફરી એકવાર અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ RTO ના નિયમનું પાલન કરીને તમામ કાગળ સાથે રાખવાની પણ સ્કૂલ વર્ધીના ચાલકોને સૂચના પણ આપવામાં આવી છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની રાજ્યભરના આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી. અત્યારે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે CNG ગેસના ભાવ વધે કે ન વધે પરંતુ અમારી સ્કૂલ વર્ધીના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. જો CNG ન ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો ફરી એક વખત અમારા એસોસિએશનની બેઠક બોલાવીશું. જે બેઠકમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈશું. તેમજ તમામ સ્કૂલ વર્ધીના ચાલકોને RTO ના નિયમનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ ગાડીના તમામ કાગળ સાથે રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. જેથી નવું સત્ર ચાલુ થાય તો વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 2:21 pm

છોટાઉદેપુરના એકલબારામાં નવી જિલ્લા જેલનું ખાતમુહૂર્ત:રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે ₹86.64 કરોડના પ્રોજેક્ટનો પ્રારંભ

છોટાઉદેપુરના એકલબારા ખાતે નવી જિલ્લા જેલના નિર્માણ માટે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે કુલ ૮૬.૬૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. આ પ્રસંગે લોકસભા સાંસદ જશુ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જેતપુર પાવીના ધારાસભ્ય જયંતી રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નવી જેલ ૨૨.૦૫૩ એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલી હશે. હાલની છોટાઉદેપુર સબ જેલની ક્ષમતા માત્ર ૧૦૭ કેદીઓની છે. તેની સરખામણીમાં, નવી જેલમાં ૪૯૦ પુરુષ અને ૬૫ સ્ત્રી કેદીઓ મળીને કુલ ૫૫૫ કેદીઓને સમાવવાની ક્ષમતા હશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, જેલની ફરતે ૨૧ ફૂટ ઊંચી આર.સી.સી. કમ્પાઉન્ડ વોલ અને ડીસી લાઈવ વાયર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. જેલ પરિસરમાં પોલીસ કર્મચારીઓ માટે આધુનિક આવાસો પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત, હોસ્પિટલ, લાઈબ્રેરી, વિડીયો કોન્ફરન્સ રૂમ, આંગણવાડી, આર.ઓ. પ્લાન્ટ અને ઓપન એર થિયેટર જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. આ નિર્માણ કાર્ય મે ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 2:19 pm

વેરાવળમાં માછલી પરિવહન માટે તાલપત્રી-પ્લાસ્ટિક કવર ફરજિયાત:ચીકણા રોડથી અકસ્માત રોકવા માછીમારો-પોલીસ સંવાદમાં મોટો નિર્ણય

વેરાવળ બંદર અને સોમનાથ રોડ પર માછલીના પાણી અને જૈવિક કચરાને કારણે રસ્તાઓ અત્યંત ચીકણા બનતા અકસ્માતો વધી રહ્યા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે માછીમારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 500થી વધુ માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. કાગડા હાજર રહ્યા હતા. અધિકારીઓએ જિલ્લા કલેકટરના જાહેરનામાની વિસ્તૃત સમજ આપી હતી અને રસ્તા પર માછલીના પાણી ઢોળાવાથી થતા અકસ્માતોના જોખમ અંગે ચેતવણી આપી હતી. ચર્ચા દરમિયાન સર્વાનુમતે નિર્ણય લેવાયો કે માછલીના પરિવહન દરમિયાન છકડો રીક્ષા અને અન્ય વાહનોમાં તાલપત્રી અને પ્લાસ્ટિક કવરનો ફરજિયાત ઉપયોગ કરવો. આ પગલાંથી રસ્તા પર પાણી ઢોળાતું અટકશે અને ચીકાશનું પ્રમાણ ઘટશે, જેના પરિણામે અકસ્માતોમાં ઘટાડો થશે. બીજી તરફ, માછીમાર સમુદાયે રજૂઆત કરી હતી કે વેરાવળ-સોમનાથ રોડ પર ચાલી રહેલા ફ્લાયઓવરનું કામ ધીમું છે. આ કારણે બંદરના રસ્તાનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ થતો હોવાથી ટ્રાફિક વધ્યો છે અને સમસ્યા વધુ ગંભીર બની છે. માછીમારોએ ફ્લાયઓવરનું કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ કરી, જેથી લાંબા ગાળાનો ઉકેલ મળી શકે. નોંધનીય છે કે વેરાવળ બંદર વિસ્તારમાં જવલા જેવી માછલીના પરિવહન દરમિયાન પાણી રોડ પર ઢોળાતા રસ્તા અત્યંત ચીકણા બની જાય છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ માટે પોલીસ અને માછીમાર સમુદાય વચ્ચે સુમેળ સાધીને લેવાયેલા આ નિર્ણયોથી સમસ્યાના ઉકેલ તરફ સકારાત્મક પગલું ભરાયું છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 2:17 pm

ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું:ઘોરવાડા, નાની ડેમાઈ અને તીતપુરમાં ગાયત્રી યજ્ઞ સાથે કાર્યક્રમ યોજાયો

હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સાબરકાંઠા જિલ્લાના ઘોરવાડા, નાની ડેમાઈ અને તીતપુર ગામોમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાયત્રી પંચકુંડી યજ્ઞ પણ યોજાયો હતો. રવિવારે ઘોરવાડા ગામે નવીન ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું. આ ઉપરાંત, ઘોરવાડા અને નાની ડેમાઈ ગામોમાં પાણીના સંપનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં ઘોરવાડા ગામના રહેવર ફળિયામાં સી.સી. રોડ, પંચાલ ફળિયા તેમજ પ્રજાપતિ અને રહેવર ફળિયામાં ગટર લાઈનનો સમાવેશ થાય છે. નાની ડેમાઈ ગામે સી.સી. રોડનું કામ અને તીતપુર ગામે પ્રાથમિક શાળામાં નવીન ઓરડા તથા પેવર બ્લોકના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી દિલીપસિંહ મકવાણા, જિલ્લા મહિલા મોરચાના મંત્રી જાનકીબા રહેવર, તલાટી કમ મંત્રી વી.એફ. રહેવર, સરપંચ વીણાબા રહેવર સહિત અનેક સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચોટીલા મહાદેવના મહંત અને ગાયત્રી યજ્ઞના મહંત પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 2:03 pm

મોઢેરા ચોકડી પાસેથી ખેડૂતપુત્રની બાઈકની ચોરી:પાર્ક કરીને યુવક દુકાનમાં મોબાઈલ લેવા ગયો ને ગણતરીની મિનિટોમાં ઉઠાંતરી

મહેસાણા શહેરની વ્યસ્ત ગણાતી મોઢેરા ચોકડી પાસે આવેલી એક મોબાઈલની દુકાન આગળ પાર્ક કરેલું મોટરસાઈકલ કોઈ અજાણ્યો શખસ ચોરી કરી રફુચક્કર થઈ જવાની ઘટના સામે આવી છે. આ અંગે તળેટી પટેલવાસના રહીશ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ લાલજીભાઈ પટેલે શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. થોડી વાર બાદ બહાર આવતા બાઈક ગાયબ હતુંફરિયાદી ગોવિંદભાઈનો 18 વર્ષીય પુત્ર યુગ ગત 20 માર્ચના રોજ બપોરે પોણા એક વાગ્યાના સુમારે પોતાનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નંબર GJ-02-EM-4445 લઈને મોઢેરા ચોકડી ખાતે આવેલી 'ફોનવાલે' નામની દુકાને ગયો હતો. રિપેરિંગમાં આપેલો મોબાઈલ પરત લેવા માટે તેણે પોતાનું બાઈક દુકાનની બહાર પાર્ક કર્યું હતું. જોકે થોડી જ વારમાં મોબાઈલ લઈને બહાર આવીને જોતા પાર્ક કરેલું બાઈક ત્યાં મળી આવ્યું નહોતું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરીપુત્રએ આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં બાઈકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે અંદાજે રૂ 60 હજારની કિંમતનું 2025નું આ નવું મોટરસાઈકલ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયું હોવાની ખાતરી થતા ગોવિંદભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 2:01 pm

ઉમરગામના કામદારો ખાડી દેશોમાં ફસાયા:પરિવારો ચિંતિત, સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરાઈ

ઉમરગામ તાલુકાના મરોલી સહિતના કાંઠા વિસ્તારના ગામોમાંથી રોજગાર અર્થે ખાડી દેશોમાં ગયેલા અને હાલ ત્યાં ફસાયેલા કામદારોના પરિવારોમાં ભારે ચિંતા વ્યાપી છે. આ અંગે પરિવારજનોએ સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરી હતી. પરિવારજનોએ સાંસદ સમક્ષ વિનંતી કરી હતી કે વિદેશમાં અટવાયેલા તેમના સગાસંબંધીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવે. સાંસદ ધવલભાઈ પટેલે પરિવારજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ખાડી દેશોમાં ફસાયેલા કામદારોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને સંબંધિત એમ્બેસીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અગાઉ પણ આવા પ્રયાસો દ્વારા કેટલાક લોકોને સફળતાપૂર્વક સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. બાકી રહેલા કામદારોને પણ વહેલી તકે પરત લાવવા માટે પ્રયત્નો ચાલુ છે. સાંસદે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉમરગામ તાલુકા, વલસાડ જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ફસાયેલા તમામ કામદારોને સુરક્ષિત રીતે સ્વગૃહ પરત લાવવામાં આવશે અને ટૂંક સમયમાં સકારાત્મક પરિણામ મળશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 1:50 pm

વલસાડમાં CM ભૂપેન્દ્ર પટેલે 'શ્રી ઓધવ ભવન'નું લોકાર્પણ કર્યું:કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા નિર્મિત ભવન પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા; ગુપ્તદાનની પ્રશંસા કરી

વલસાડમાં કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા નિર્મિત 'શ્રી ઓધવ ભવન'નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ સદગુરુ ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવના અવસરે યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા કેસરી ગુલાલ અને પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા ભાનુશાલી સમાજની 'ગુપ્ત દાન'ની પરંપરાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, આટલા વિશાળ ભવનના નિર્માણમાં કરોડોનું દાન આવ્યું હોવા છતાં ક્યાંય દાતાઓની તકતી જોવા મળતી નથી, જે દર્શાવે છે કે સમાજે પ્રાચીન દાન પરંપરાને સાર્થક કરી છે. તેમણે વડાપ્રધાનના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રનો ઉલ્લેખ કરી સામાજિક સમરસતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા 9 સંકલ્પોની યાદ અપાવી. તેમણે પાણી બચાવવું, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓને જીવનમાં ઉતારી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ભાનુશાલી સમાજની દેશભક્તિ અને ખુમારીની પ્રશંસા કરી.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 1:35 pm

81 બોલમાં 14 સિક્સર, 21 બાઉન્ડ્રી સાથે 193 રન ફટકાર્યા:સુરત ક્રિકેટ લીગમાં KKRના પૂર્વ ખેલાડી આર્ય દેસાઈએ ઇતિહાસ રચ્યો; IPLમાં રમે તો 'ક્રિસ ગેલ'નો રેકોર્ડ તૂટી શકે!

ડાયમંડ સિટી સુરત હવે ક્રિકેટના રત્નોથી પણ ઝળકી રહ્યું છે. આઈપીએલ 2026ની સિઝન શરૂ થાય તે પહેલા જ દક્ષિણ ગુજરાતના એક યુવા બેટ્સમેને વિશ્વ ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) દ્વારા આયોજિત સુરત ક્રિકેટ લીગ (SCL)માં લુથ્રા પેગાસસના કેપ્ટન આર્ય દેસાઈએ એવી બેટિંગ કરી કે સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. આર્યએ માત્ર 81 બોલમાં 193 રન ફટકારીને ટી-20 ક્રિકેટના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે. 81 બોલ, 193 રન અને 238નો સ્ટ્રાઈક રેટ20 માર્ચના રોજ લુથ્રા પેગાસસ અને કૈલાશ સ્પોર્ટ્સ ક્લબ વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં આર્ય દેસાઈનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ઓપનિંગમાં આવેલા આર્યએ પ્રથમ બોલથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરતા 238.27ના આઘાતજનક સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 14 ગગનચુંબી છગ્ગા અને 21 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે તેણે 168 રન તો માત્ર બાઉન્ડ્રીથી જ મેળવ્યા હતા. ક્રિસ ગેલનો રેકોર્ડ પણ જોખમમાં!આર્ય દેસાઈની આ ઇનિંગે આઈપીએલના દિગ્ગજ ક્રિસ ગેલની યાદ તાજી કરી દીધી છે. આઈપીએલમાં ગેલના નામે 175 રનનો રેકોર્ડ છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર માનવામાં આવતો હતો. જોકે, આર્યએ 193 રન બનાવીને બતાવી દીધું છે કે તે આગામી સમયમાં મોટા મંચ પર પણ આવો જ કમાલ કરી શકે છે. ગુજરાતના સ્થાનિક ક્રિકેટ ઈતિહાસમાં ટી-20 ફોર્મેટમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હોવાનું મનાય છે. કોણ છે આર્ય દેસાઈ?આર્ય દેસાઈની ઉંમર 22 વર્ષ છે અને ગુજરાત માટે રણજી ટ્રોફીમાં પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યો છે. આ સાથે આઈપીએલ કનેક્શન પણ છે. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. વેસ્ટ ઝોન તરફથી દુલિપ ટ્રોફીમાં પણ રમી ચૂક્યો છે. 'વર્લ્ડ કપમાં જેવી બેટિંગ થાય છે, બસ એવો જ પ્લાન હતો'પોતાની આ ઐતિહાસિક ઇનિંગ બાદ આર્ય દેસાઈએ જણાવ્યું હતું કે, મેં ઘણા વર્ષોથી આ માટે મહેનત કરી છે. હાલમાં જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બદલાઈ રહ્યું છે, ખાસ કરીને વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલમાં ભારતીય ટીમે જે રીતે 250+ સ્કોર કર્યા હતા, તે જોતા મારો ઇન્ટેન્ટ પહેલા બોલથી જ એટેક કરવાનો હતો. મને ખુશી છે કે હું મારો પ્લાન અમલમાં મૂકી શક્યો અને મારી ટીમને જીત અપાવી. સુરતના ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલઆર્યની આ સિદ્ધિ બાદ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક કોચે તેને અભિનંદન પાઠવ્યા છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે આર્યનું આ ફોર્મ તેને આગામી આઈપીએલ ઓક્શનમાં મોટી કિંમત અપાવી શકે છે. જે રીતે તેણે બોલરોની ધોલાઈ કરી છે, તે જોતા તે ભારતીય ક્રિકેટનું આગામી મોટું નામ બની શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 1:13 pm

હિંમતનગરના ગઢોડામાં ગર્ભ-સંસ્કાર વિધિ સંપન્ન:ગાયત્રી પરિવાર અને શ્રીનાથજી ગીર ગૌશાળા દ્વારા આયોજન; 24 ગર્ભવતી મહિલાઓએ યજ્ઞમાં ભાગ લીધો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે ગર્ભસંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર ગાયત્રી પરિવાર અને ગઢોડાની શ્રીનાથજી ગીર ગૌશાળાના સહયોગથી આ વિધિ સંપન્ન થઈ હતી, જેમાં 24 ગર્ભવતી મહિલાઓએ ભાગ લીધો હતો. આ વિધિ દરમિયાન, પાંચ યજ્ઞ કુંડ પર 24 ગર્ભવતી મહિલાઓ તેમના પતિઓ સાથે બિરાજમાન થઈ હતી. ગાયત્રી પરિવારની મહિલાઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે સોળ સંસ્કાર પૈકીના એક ગર્ભસંસ્કારની વિધિ કરાવવામાં આવી હતી. આ ગર્ભસંસ્કાર વિધિનો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર બાળક સ્વસ્થ અને આધ્યાત્મિક ગુણોથી સભર બને તેવો હતો. શ્રીનાથજી ગીર ગૌશાળાના સંચાલક દ્વારા વર્તમાન સમયમાં વિશ્વમાં પ્રવર્તતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 1:08 pm

મિલેટ મહોત્સવના પ્રથમ દિવસે લોકસંસ્કૃતિની રમઝટ જામી:વઢવાણના હવા મહેલ ખાતે હુડો, ગોફ-ગૂંથણ, પઢાર નૃત્ય રજૂ થયા

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-2026’નો પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રથમ દિવસે લોકકલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. રાત્રે 8 થી 10 દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. હવા મહેલને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત જાણીતા કલાકાર પ્રદિપ એ. પરમાર અને તેમની ટીમે સૌરાષ્ટ્રના ‘હુડો રાસ’ની પ્રસ્તુતિથી કરી હતી. ત્યારબાદ, કલાકારો દ્વારા અત્યંત જટિલ ‘ગોફ-ગૂંથણ’ નૃત્ય રજૂ કરાયું હતું. આ નૃત્યમાં કલાકારોએ તાલબદ્ધ રીતે દોરીની ગૂંથણી કરી અને તેને ગૂંચવણ વગર ઉકેલી પોતાની અદભૂત કુશળતા દર્શાવી હતી. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે રામભાઈ પોપટભાઈ પઢાર અને તેમના સાથી કલાકારોએ વિશ્વવિખ્યાત ‘પઢાર નૃત્ય’ મંજીરા રાસ રજૂ કર્યું. નળકાંઠાના પઢાર સમુદાયની વિશિષ્ટ શૈલીમાં રજૂ થયેલા આ નૃત્ય અને મંજીરાના નાદે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકાર વૈશાલીબેન મિસ્ત્રીએ પ્રાચીન અને અર્વાચીન ગરબા રજૂ કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત, મુલાકાતીઓએ શ્રી ધાન્ય આધારિત પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લીધી અને વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો. બાળકો માટેનો વિશેષ ‘ચિલ્ડ્રન પ્લે એરિયા’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનને કારણે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઝાલાવાડવાસીઓ આ ઉત્સવમાં ઉમટી પડ્યા હતા. મહોત્સવના બીજા દિવસે, એટલે કે આજે, ખ્યાતનામ કલાકાર હિતેશકુમાર બારોટ દ્વારા ‘કસુંબલનો રંગ’ લોકસાહિત્યનો કાર્યક્રમ યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને આ સાહિત્યિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 1:05 pm

બોટાદના ગઢડા રોડપર ગુરુકુળ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો:મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો, જિલ્લા ભાજપ દ્વારા આયોજન

બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદની શેલ્બી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ગુરુકુળ ખાતે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 2000થી વધુ દર્દીઓને લાભ મળવાની શક્યતા છે. આ કેમ્પનો શુભારંભ સંતો અને ભાજપના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. વિશ્વવિખ્યાત ડૉ. વિક્રમ શાહની ટીમના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની મફત તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં જનરલ સર્જરી, સ્પાઈન સર્જરી, ENT, યુરોલોજી, નેફ્રોલોજી તેમજ કેન્સર નિદાન સહિત વિવિધ વિભાગોમાં દર્દીઓને નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆતથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ, 500થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સાંજ સુધીમાં આશરે 2000 જેટલા લોકો કેમ્પનો લાભ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મહામંત્રી વનરાજસિંહ ડાભી, પાલજીભાઈ પરમાર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે આ નિદાન કેમ્પ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા આરોગ્ય કેમ્પો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સુવિધા પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 12:41 pm

સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને એજન્સીઓ કાર્યરત:ગોમતીપુર અને માધુપુરામાં એજન્સીઓએ દરોડા પાડી મોંઘી વિદેશી દારૂની બોટલો ઝડપી, ત્રણની ધરપકડ

અમદાવાદમાં સ્થાનિક પોલીસ દારૂબંધી મામલે નિષ્ક્રિય હોય એમ એજન્સીઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવવામાં આવતો અને ત્યાંથી સગેવગે કરાતો દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. શહેરના ગોમતીપુર અને માધુપુરા વિસ્તારમાંથી એજન્સીઓ દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગોમતીપુર વિસ્તારમાં ડીસીપીની સ્ક્વોડ દ્વારા દરોડો પાડીને ગોમતીપુરના જ બુટલેગર દ્વારા આપવામાં આવતા દારૂના જથ્થા સાથે બે બુટલેગરની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ કમિશનરની સ્ક્વોડ દ્વારા માધુપુરા વિસ્તારમાં દરોડો પાડી ટ્રાન્સપોર્ટમાં લાવેલા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. બંને કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગોમતીપુરમાં દારૂનો જથ્થો સગે વગે થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકીઝોન પાંચ એલસીબી સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે, ગોમતીપુર વિસ્તારમાં વિવેકાનંદ નગર વિભાગ એક પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકોએ વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે અને તેને સગે વગે કરવાની તૈયારી કરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ખુલ્લી જગ્યામાં ત્રણ શખ્સો ટુ-વ્હીલરની ડેકીમાં પુઠાના બોક્સમાંથી નાની બોટલો કાઢીને મુકતા હતા. જેથી તરત જ પોલીસ તેમને પકડવા ગઈ ત્યારે એક વ્યક્તિ ભાગી ગયો હતો, જ્યારે નરેશ ચૌહાણ (રહે. અસારવા) અને સુશાંત શર્મા (રહે. રામોલ) નામના બે શખ્સની ધરપકડ કરી લીધી હતી. અલગ અલગ 336 વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપી પાડ્યાપોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાડીની ડેકીમાંથી અને બહારથી કુલ અલગ અલગ 336 વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગોમતીપુર વિસ્તારમાં વિવેકાનંદ નગર ઔડાના મકાનોમાં રહેતો વિપુલ પટણીનો દારૂનો જથ્થો છે. વિપુલ પટણીનો માણસ આકાશ ઉર્ફે ડૂમો ત્યાંથી પોલીસ આવતા ભાગી ગયો હતો. વિદેશી દારૂનો જથ્થો લેવા માટે તેઓ ટુ-વ્હીલર લઈને આવ્યા હતા અને ડીકીમાં ભરી અને લઈ જતા હતા તે દરમિયાનમાં પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. સ્થાનિક ગોમતીપુર પોલીસના જાણ બહાર દરોડો પાડીને ગોમતીપુર વિસ્તારમાંથી જ અસારવા અને રામોલનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બહાર પુઠાના બોક્સમાં વિદેશી દારૂ આવ્યોપોલીસ કમિશનરની પીસીબી સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે, પ્રેમ દરવાજા બહાર ગુજરાત જિનિંગ મિલમાં આવેલા પટેલ ગુડ કેરિયર ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બહાર પુઠાના બોક્સમાં વિદેશી દારૂ આવ્યો છે. જેના આધારે પીસીબી સ્ક્વોડના કર્મચારીઓ ગોડાઉનની બહાર પહોંચ્યા હતા ત્યારે ત્યાં ઘણા બધા કાર્ટુન પડ્યા હતા. ગોડાઉનમાં એક વ્યક્તિ હાજર હતો જે પોતે મજૂર તરીકે નોકરી કરતો હતો ને ગાડીમાં આવતા ટ્રાન્સપોર્ટના માલને ચેક કરી ઉતારવાનું કામ કરતો હતો. પોલીસે બાતમી વાળા લેડીઝ ચપ્પલના કાર્ટૂનમાં જ્યારે તપાસ કરી તો તેમાં ઘણા બધા લેડીઝના ચપ્પલ હતા. જેમાં બીજા ખાખી કલરના બોક્સમાં 32 નંગ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. માધુપુરા પોલીસની જાણ બહાર જ પીસીબીએ દરોડો પાડી દારૂ ઝડપ્યોપોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કોઈ લેવા આવે છે કે કેમ તે જોવા માટે ઘણો સમય રાહ જોઈ હતી, પરંતુ વહેલી સવાર સુધી કોઈ આવ્યું નહોતું. જેથી પોલીસે આ કાર્ટૂનોની બીલટી બાબતે જોતા નોર્થ વેસ્ટ દિલ્હીના જૈન એન્ટરપ્રાઇઝ અને અમદાવાદના નીલમ ફૂટવેરનું બિલ હતું. પોલીસે આ બાબતે તપાસ કરતા મોંઘી વિદેશી દારૂની 32 જેટલી બોટલોને કબજે લીધી હતી. માધુપુરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં માલ લાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે માધુપુરા પોલીસની જાણ બહાર જ પીસીબીએ દરોડો પાડી દારૂ ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 12:34 pm

ટંકારીયામાં ગૌવંશ કતલનો પર્દાફાશ:પાલેજ પોલીસે એક ઝડપ્યો, ત્રણ વોન્ટેડ

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં ગૌવંશ કતલનો પર્દાફાશ થયો છે. પાલેજ પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની સંબંધિત કલમો, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2017 અને પશુ ઘાતકીપણા અધિનિયમ-1960 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 12:33 pm

સમીના રણાસર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત:વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ, ઓક્સિજન ઘટનું પ્રાથમિક અનુમાન

પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા રણાસર તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. તળાવમાં માછલીઓ મરીને ઉપર આવતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ મત્સ્ય ઉદ્યોગ વિભાગના સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, તળાવમાં પાણી ઓછું થવા અને ભેજવાળા વાતાવરણને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી માછલીઓના મોત થયા હોઈ શકે છે. આ પ્રાથમિક અનુમાન છે. માછલીઓના મોતને કારણે ફેલાયેલી દુર્ગંધથી તળાવની આસપાસના રહેણાક વિસ્તારોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. તળાવ પાસેથી પસાર થતા રાહદારીઓ પણ આ દુર્ગંધથી પરેશાન છે. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રકારે માછલીઓના મોત થવા પાછળ પાણીમાં ઓક્સિજનની ઘટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા મૃત માછલીઓનો તાત્કાલિક અને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 12:32 pm

સુરેન્દ્રનગરમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ:20થી વધુ સ્ટોલ્સ દ્વારા મિલેટ વાનગીઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન

સુરેન્દ્રનગર ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું આયોજન કરવામાં આવ્યું છે. ખેતીવાડી વિભાગ અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ દ્વારા નાગરિકોને પ્રાકૃતિક કૃષિ અને ‘શ્રી અન્ન’ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે વિશેષ સ્ટોલ પ્રદર્શિત કરાયા છે. આ પ્રદર્શનમાં સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો બાજરી અને જુવાર જેવા મિલેટ પાકોના વાવેતર માટે કુદરતી રીતે અનુકૂળતા ધરાવે છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો છે. મેળામાં અંદાજે 20 જેટલા સ્ટોલ્સ ઊભા કરાયા છે, જ્યાં ખેડૂતોના સીધા ખેત-ઉત્પાદનોથી લઈને મિલેટમાંથી તૈયાર થયેલી મૂલ્યવર્ધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. મિલેટ પાકોના પૌષ્ટિક મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું કે, આધુનિક જીવનશૈલીમાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા શારીરિક પ્રશ્નો વધી રહ્યા છે, ત્યારે મિલેટ એક સુરક્ષા કવચ સમાન છે. મિલેટ પાકો એન્ટી-ઓક્સિડન્ટ તત્વોની સાથે ઝિંક અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્વોથી ભરપૂર હોય છે, જે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે. આ મેળામાં માત્ર કાચા અનાજનું જ નહીં, પરંતુ લોકોમાં રુચિ કેળવાય તે હેતુથી રાગીના ઢોકળા અને મિલેટની ખીચડી જેવી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓનો ફૂડ કોર્ટ પણ કાર્યરત છે. આવા નવતર પ્રયોગોથી શહેરીજનોમાં દૈનિક ખોરાકમાં મિલેટનો સમાવેશ કરવા પ્રત્યે સભાનતા આવશે અને તેઓ જંક ફૂડના બદલે પૌષ્ટિક આહાર તરફ વળશે. ખેડૂતોને સંદેશ આપતા ભરતભાઈ પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ જેવા રોકડિયા પાકોનું ચલણ હોવા છતાં, મિલેટ જેવા પાકો ઓછા ખર્ચે અને પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ કાર્યક્ષમ રીતે લઈ શકાય છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે ઝેરમુક્ત ખેતી તરફ વળી રહ્યા છે, જે જમીનની ફળદ્રુપતા અને ગ્રાહકના સ્વાસ્થ્ય બંને માટે હિતાવહ છે. આ મેળા દ્વારા ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે મિલેટ જેવા મૂલ્યવાન પાકોનું વાવેતર વધારી આર્થિક સમૃદ્ધિ મેળવવા પ્રોત્સાહન મળશે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 12:30 pm

રાજુલાની ગુમ થયેલી યુવતીનો ચોંકાવનારો VIDEO VIRAL:'મેં મારી મરજીથી મુહિસ સાથે લગ્ન કર્યા છે, અમને કઈ પણ થશે તો જવાબદારી મારા પરિવારની'

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક યુવતીના ગુમ થયા બાદ સર્જાયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ગયેલી યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી પોતે મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. ઘટનાની પૃષ્ઠભૂમિપ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલાની નેહા પરમાર નામની યુવતી અંદાજે 10 દિવસ પૂર્વે સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી સંપર્ક ન થતા અને યુવતી પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વાયરલ વીડિયો અને યુવતીનો દાવોયુવતી ગુમ થવાના મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે નેહા પરમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણે મુહિસ ફિરાણી નામના યુવક સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે. તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી અને તે સુરક્ષિત છે. પરિવાર અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને પોલીસ કેસને તેણે અયોગ્ય ગણાવ્યા છે. યુવતીની સ્પષ્ટતાનેહાએ વીડિયોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તેને, તેના પતિ મુહિસને કે તેના સાસરી પક્ષને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે અથવા ધમકી આપવામાં આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તેના પિયર પક્ષ (પરિવાર) ની રહેશે. તેણે હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોના સમર્થનનો ઉલ્લેખ કરીને અપીલ કરી છે કે આ મામલે કોઈને પણ હેરાન કરવામાં ન આવે. માતાપિતા પર યુવતીનો આક્ષેપહેલો, વર્ષ દિવસથી મારી ફેમિલીને ખબર છે કે હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી મોઈઝ સાથે રિલેશનશિપમાં છું અને નાઉ હવે એ લોકો એવું બહાનું કાઢે છે કે, એ લોકો જાણતા નથી,હકીકતમાં એ લોકોને વર્ષ દિવસથી ખબર છે કે હું મોઈઝ સાથે જ હતી અને એ વર્ષ દિવસના ટાઇમમાં મને ઘરમાં ત્રણથી ચાર મહિના સુધી પૂરીને રાખી હતી. મને બહાર જવા નોતા દેતા, ઇવન મને ઘરમાં બહુ ટોર્ચર કરતા હતા. અને ઇન્ડિયન ફેમિલી પ્રમાણે થોડું જાજુ મારપીટ કરતા, બહાર જવા ન દેતા, કોઈની સાથે વાત કરવા ન દેતા, ઇવન મેન્ટલી ટોર્ચર બી એટલી કરેલી છે 'અમે ત્રણ મહિના પહેલા લગ્ન કરી લીધા છે'યુવતી સાથે લગ્ન કરના મોઇઝે વીડિયો દ્વારા નિવેદન આપતા કહ્યું કે,- અમે ઓલરેડી ત્રણ મહિનાથી લગ્ન કરી લીધા છે, એની ફેમિલીને ભી ખબર હતી. ખબર નહીં કે આ ત્રણ મહિના પછી શું થયું જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનું ગ્રુપ છે કે કોઈ ભી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ મારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે એ અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા.અને અમે બહુ રાજી છીએ. અમે છેલ્લા ત્રણ મહિનાથી સાથે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ. તો અમારી એવી વિનંતી કે અમને આવી ને આવી રીતના જીવવા દો અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. ધન્યવાદ. સ્થાનિક પ્રતિસાદ અને પોલીસ કાર્યવાહીઆ ઘટનાને પગલે રાજુલામાં હિંદુ સંગઠનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.એક અઠવાડિયાની અંદર હિંદુ સમાજની ચાર દીકરીઓ લવ જેહાદનો શિકાર બનતા ચિંતા પ્રસરી છે. વીડિયોની સત્યતા તપાસતી પોલીસજ્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે. હાલ પોલીસ આ વીડિયોની સત્યતા તપાસી રહી છે અને યુવતીના નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરી રહી છે. વીડિયોની સત્યતા તપાસતી પોલીસજ્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે. હાલ પોલીસ આ વીડિયોની સત્યતા તપાસી રહી છે અને યુવતીના નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 12:23 pm

વામૈયામાં ક્ષત્રિય-ઠાકોર સમાજનું સંમેલન રદ થતા બળદેવજી ઠાકોર નારાજ:કોઈનું નામ લીધા વિના કહ્યું- 'વ્યક્તિગત લાભ માટે સંગઠિત સમાજને તોડવાનું ષડયંત્ર, સંમેલન કોઈ સમાજ સામે નહોતું'

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે પાટણના વામૈયા ગામે યોજાનાર ઠાકોર અને ક્ષત્રિય સમાજની સભા રદ થવા મામલે સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપતા વિવાદ વકર્યો છે. બળદેવજી ઠાકોરે કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપ કર્યા છે કે, કેટલાક લોકોએ પોતાના વ્યક્તિગત લાભ ખાતર સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક થઈ રહેલા ઠાકોર અને ક્ષત્રિય દરબાર સમાજને સંગઠિત થતા અટકાવવા માટે આ સભા મોફૂક રખાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંમેલન કોઈ સમાજની વિરુદ્ધમાં નહીં પરંતુ માત્ર સરકાર અને પાટણ પોલીસની કામગીરી સામે હતું. જેને રોકવા માટે રચાયેલું 'ષડયંત્ર' હવે ખુલ્લું પડી ગયું છે. આમ વામૈયાની ઘટના બાદ હવે ઠાકોર સમાજના બે દિગ્ગજ નેતાઓ આમને-સામને આવી જતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયા મારફતે પ્રતિક્રિયા આપીવીડિયો મારફતે તેમણે જણાવ્યું, વમૈયાની મેટરના 23 તારીખે જે સંમેલન મળવાનું હતું એ રબારી સમાજ સામે નહોતું. પાટણના કે ગુજરાતના કોઈપણ સમાજ સામે નહોતું. આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢીને કૃત્ય કર્યું હતું એની સામે હતું. ગુજરાતમાં ઘણા બધા બનાવો બને છે. કોના વરઘોડા નીકળે છે અને કોના નથી નીકળતા. પાટણની જે મેટર હતી. તેમાં વ્યક્તિગત ઝઘડા હતો એની સામે કોઈને વાંધો ના હોય. દરેક સમાજમાં આવા નાના મોટા ઝઘડા ચાલતા હોય છે, પરંતુ પોલીસે એની બહાદુરી બતાવવા માટે જાહેરમાં વરઘોડો કાઢી જે બેરહેમીથી માર્યા હતા. એવી રીતે ગુજરાતમાં તમામ જગ્યાઓ પર પોલીસ આવા વરઘોડા કેમ કાઢતી નથી. કેમ એકજ સમાજના વરઘોડા કાઢે છે. સરકાર અને પોલીસ ફરીવાર આવી ભૂલના કરે એની માટેનું આ સંમેલન હતું. સમાજ એક થઈને એક ખાટલે બેસે એ ના થાય તે માટે ષડયંત્ર રચ્યુંવધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો. એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. ઉત્તર ગુજરાતમાં ઠાકોર, ક્ષત્રિય, દરબાર સમાજ એક થઈ રહ્યો હતો. એ સમાજ એક ના થાય ખાટલે સાથે ના બેસે એની એકતા તોડવા માટેનું ષડયંત્ર હતું એ આજે સતું થયું છે. કોણે કર્યું, કોણે નથી કર્યું એમાં મારે પડવું નથી. વામૈયાની મેટરથી ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય જ્યારે એક થતા હતા ત્યારે જે લોકોએ અટકાવવાની કામગીરી કરી છે એ ના કરવી જોઈએ. આ એક એવો મોકો હતો જેમાં ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય એક તાંતણે બંધાવવાના હતા. એ તાંતણે ના બંધાય એ મનસા મેલી હતી એ બહાર આવી છે. આ હતો સમગ્ર મામલો?ઝીલિયા ગામે મસ્તાની ગેંગના કુખ્યાત ભાર્ગવ અને ભાવેશ ઝીલિયાના ફાર્મ પર થયેલા ઘર્ષણ બાદ વામૈયા અને આસપાસના ગામના 18 ક્ષત્રિય યુવાનોની ધરપકડ થઈ હતી. જેમાં પોલીસ તંત્ર દ્વારા રિકન્સ્ટ્રક્શનના નામે યુવાનોને ઝીલિયા ફાર્મ પર લઈ જઈ ઉઠકબેઠક કરાવી વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગ કરી હતી ક્ષત્રિય સમાજની મુખ્ય માગ હતી કે, આ ઘટનામાં સંડોવાયેલા LRD કોન્સ્ટેબલ, ASI, PSIથી લઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સુધીના તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અથવા બરતરફ કરવામાં આવે અને ભાર્ગવ અને ભાવેશ ઝીલિયા સામે પણ આવી જ કાર્યવાહીની માગ બાબતે વામૈયા ગામે ક્ષત્રિય સમાજ એકત્રિત થવાનો હતો. શનિવારે અલ્પેશ ઠાકોર સમાજના આગેવાનો સાથે SPને મળ્યાશનિવારે અચાનક ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી સાથે બેઠક કરી હતી. લગભગ પાંચેક કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં સમાજની માંગણીઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠક બાદ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા સહિતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં સમાજના આગેવાનોએ આયોજન કરાયેલ સંમેલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 12:18 pm

લાઈટની સ્વીચ ચાલુ કરતા જ ગેસ સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયો:નોકરીએથી પરત ફરેલા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા, દરવાજા અને બારીના કાચૂ તૂટી ગયા

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં GIDC કોલોનીમાં ગત રાત્રે બ્લાસ્ટની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે આ બ્લાસ્ટ ઘરમાં રાખેલી ગેસની નવી બોટલમાં લીકેજ હતું અને ઘર સંપૂર્ણ પણ બંધ હતું. જ્યારે વૃદ્ધ ઘરે નોકરીથી પરત ફરી દરવાજો ખોલતા જ લાઇટની સ્વીચ ઓન કરતા જ ધડાકાભેર બ્લાસ્ટ થાય છે અને ઘરમાં રહેલા તમામ વસ્તુઓ અસ્ત વ્યસ્ત અને બળી જાય છે સાથે વૃદ્ધ દાઝી જતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. સ્વીચ ચાલુ કરતા જ જોરદાર બ્લાસ્ટ થયોઆ ઘટના ગત રાત્રે નવ વાગ્યાની આસપાસ બને છે. માંજલપુર વિસ્તારમાં આવેલ અલવાનાકા GIDC કોલોમાં રહેતા અને જીઆઇડીસી માં ખાનગી નોકરી કરે છે. તેઓ ઘરમાં ગેસની નવી બોટલ મૂકી ઘર સંપૂર્ણ બંધ કરી નોકરી ગયા હતા. પરત ફરતા શંકરભાઈ લાલાભાઈ પટેલ ( ઉંમર વર્ષ 63) ઘરે નોકરીથી પરત ફરી દરવાજો ખોલી લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકાભેર બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. વૃદ્ધ દાઝી જતા સારવાર માટે ખસેડાયા આ બ્લાસ્ટની ઘટનામાં શંકરભાઈ દાઝી જાય છે અને તેઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પોહચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નવી ગેસની બોટલમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં વૃદ્ધ એકલા રહે છે અને તેઓ જીઆઇડીસી કંપનીમાં ખાનગી નોકરી કરે છે. આ ઘટનામાં બ્લાસ્ટ એટલો વિકરાળ હતો કે ઘરમાં ટોયલેટ બાથરૂમના દરવાજા પણ તૂટીને પડ્યા હતા. સાથે ઘરમાં રહેલા સામાના અસ્તવ્યસ્ત થયો હતો. તિજોરીના કાચ પણ તૂટેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ ઘટના અંગે માંજલપુર પોલીસ મથકને જાણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 12:07 pm

સંતરામપુર બસ ડેપોને 4 નવી બસો મળી:ધારાસભ્ય ડો.કુબેર ડિંડોરે લીલી ઝંડી આપી નિર્ધારિત રૂટ પર પ્રસ્થાન કરાવ્યું

મહીસાગર જિલ્લાના સંતરામપુર બસ ડેપોને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ચાર નવી બસો ફાળવવામાં આવી છે. આ બસોનો મુખ્ય હેતુ નાગરિકોની મુસાફરીને વધુ સુગમ અને આરામદાયક બનાવવાનો છે. રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે આ નવી બસોને લીલી ઝંડી આપી તેમના નિર્ધારિત રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી બસોના પ્રારંભથી સંતરામપુર અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સુવિધાજનક અને સમયબદ્ધ પરિવહન સેવા મળશે તેવી અપેક્ષા છે. આનાથી જાહેર પરિવહન સેવા વધુ મજબૂત બનશે અને નાગરિકોને સીધો લાભ થશે. આ પ્રસંગે મહીસાગર જિલ્લા ઉપાધ્યક્ષ દીપકભાઈ ચાવડા, જિલ્લા મંત્રી સંદીપભાઈ ભોઈ, નગર પ્રમુખ નિતીનભાઈ રાણા, મહામંત્રી કેવલ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, સચિન શાહ અને ડેપો મેનેજર ભગોરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સરપંચો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 11:57 am

મોરબીના બંધ સિરામિક કારખાનામાં ક્રિકેટ મેચ:કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો રમતા વીડિયો વાયરલ

મોરબીમાં પ્રોપેન અને નેચરલ ગેસની અછતને કારણે 450 જેટલા સિરામિક કારખાના બંધ પડ્યા છે. આ બંધ પડેલા કારખાનાના શેડ હવે ક્રિકેટ મેદાનમાં ફેરવાઈ ગયા છે. કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો તેમાં ક્રિકેટ રમતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગેસની અછતને કારણે માત્ર બંધ જ નહીં, પરંતુ જે કારખાના ચાલુ છે તે પણ બંધ થવાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં સિરામિક ઉદ્યોગ ફરી ક્યારે ધમધમતો થશે તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ 24 કલાક કાર્યરત રહી દેશ-વિદેશમાં સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન અને નિકાસ કરે છે. જોકે, 23 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને 28 ફેબ્રુઆરીએ દુબઈ પોર્ટ પર થયેલા હુમલા બાદ પરિસ્થિતિ બદલાઈ છે. આ ઘટનાક્રમ બાદ જીસીસી (GCC) દેશોમાં મોરબીની સિરામિક ટાઇલ્સના કન્ટેનરોની અવરજવર બંધ થઈ ગઈ છે. પરિણામે, મુંદ્રા અને કંડલા પોર્ટ તેમજ દરિયાઈ માર્ગેથી 1500 જેટલા સિરામિક ટાઇલ્સ ભરેલા કન્ટેનરો પાછા ફર્યા છે. આના કારણે દરેક સિરામિક કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બંધ પડેલા સિરામિક કારખાનાઓમાં કેટલીક જગ્યાએ મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે, જ્યારે મોટાભાગના સ્થળોએ કોઈ કામ ન હોવાથી કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો સમય પસાર કરવા ક્રિકેટ રમી રહ્યા છે. આ દ્રશ્યો દર્શાવતા વીડિયો હાલમાં વાયરલ થયા છે. આ સ્થિતિમાં ઉદ્યોગકારો સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે: ગેસના અભાવે બંધ થયેલા કારખાનાઓ ફરી ક્યારે શરૂ થશે? જ્યારે શરૂ થશે ત્યારે ગેસ વર્તમાન ભાવે મળશે કે બમણા ભાવે? જો ગેસના ભાવ બમણા થશે તો સિરામિક ઉદ્યોગકારો બજારમાં ટકી શકશે કે કેમ? આવા અનેક અનિશ્ચિત પ્રશ્નોને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ભારે મૂંઝવણમાં મુકાયો છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 11:47 am

નવાપરા વિસ્તારમાં ઈદની મોડી રાત્રે ફાયરિંગ:જૂની અદાવત કારણભૂત, પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ઈદની મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. 18માં રોઝાના દિવસે થયેલી માથાકૂટનો ખાર રાખી ગતરાત્રિએ બંને જૂથ આમને સામને આવી જતા બે રાઉન્ડ ફાયર કરાયા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. નિલમબાગ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ( આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ)

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 11:34 am

વેરાવળ હત્યા-લૂંટ, આરોપીને કોર્ટે આજીવન કેદ ફટકારી:પોલીસે મજબૂત પુરાવા રજૂ કરી ગુનો સાબિત કર્યો

ગીર સોમનાથ જિલ્લામાં બનેલા ચકચારી હત્યા અને લૂંટના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ, વૈજ્ઞાનિક પુરાવાઓ અને મજબૂત દલીલોના આધારે આ કેસ સાબિત કર્યો હતો. આ ગુનો 13 ડિસેમ્બર 2019ના રોજ નોંધાયો હતો. આરોપી સંજયભાઈ ધનજીભાઈ બારિયાએ ભોગ બનનારને પોતાની મારૂતિ સુઝુકી અર્ટીગા કારમાં બેસાડી વેરાવળના સાંઈબાબા મંદિર પાસેથી દરિયાકાંઠા તરફ લઈ ગયો હતો. ત્યાં કારની અંદર જ તકિયા વડે શ્વાસ રોકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ મૃતકના શરીર પરથી આશરે 10 તોલા સોનાના દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ મૃતદેહને બોરીમાં ભરી સોમનાથ હાઇવે નજીક ઝાંખરાવાળી પડતર જગ્યામાં ફેંકી દીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વેરાવળ સીટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. વાઘેલા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ, સાક્ષીઓના નિવેદન અને સ્થળ પરના પુરાવાઓના આધારે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ પુરાવાઓ એકત્રિત કરીને 28 ફેબ્રુઆરી 2020ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલ કે.ડી. વાળા અને જે.ડી. પાઠકે કોર્ટમાં અસરકારક દલીલો કરી, જેમાં સાક્ષીઓ, ફોરેન્સિક પુરાવા અને તપાસના તથ્યો રજૂ કરાયા હતા. આ દલીલો અને પુરાવાના આધારે વેરાવળ સેશન્સ કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 302 (હત્યા) અને 392 (લૂંટ) હેઠળ આજીવન કેદની સજા ફટકારી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર તપાસ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કેસ ગીર સોમનાથ પોલીસ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 11:24 am

બોટાદથી ગઢડા 25 કિમી સ્કેટિંગ મેરેથોન યોજાઈ:પોલીસ પેટ્રોલિંગ સાથે ગોપીનાથજી મંદિરે સમાપન થયું

બોટાદ જિલ્લામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે પાયોનિયર એકેડેમી બોટાદ દ્વારા 25 કિલોમીટર લાંબી સ્કેટિંગ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન બોટાદથી શરૂ થઈને ગઢડાના ગોપીનાથજી મંદિરે સમાપ્ત થઈ હતી. આ મેરેથોનનું પ્રસ્થાન વહેલી સવારે બોટાદથી કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્કેટર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્કેટર્સે 25 કિલોમીટરનું અંતર કાપી ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરે પહોંચીને મેરેથોન પૂર્ણ કરી હતી. સમગ્ર મેરેથોન દરમિયાન બોટાદ અને ગઢડા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મેરેથોન પૂર્ણ થયા બાદ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારની સ્પર્ધાઓ યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારી સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા આપે છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 11:21 am

રાજકોટમાં ચૂંટણી પૂર્વે કડવા પાટીદારોનું સામાજિક સંમેલન:ઈશ્વરીયામાં ઉમિયાધામ દ્વારા રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયા ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયુ છે. અહીં રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપના લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉમિયાધામના ટ્રસ્ટી જેરામ વાંસજાળીયા, કડવા પાટીદાર સમાજના મૌલેશ ઉકાણી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, નિલેશ ધૂલેશિયા, ચીમન સાપરિયા સહિતના આગેવાનો જોડાયા હતા. રાજકોટના ઇશ્વરીયા ગામમાં શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે પરંપરા અને પરિવર્તન વિષય પર સામાજિક સંમેલન યોજાયુ હતુ. જેમાં મુખ્ય વક્તા તરીકે પરસોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સિદસર ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયામાં સામાજિક સંમેલન યોજાયુ હતુ. જેમાં કયા કયા સામાજિક સુધારાઓની જરૂર છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 11:17 am

ચાલુ ટોય ટ્રેનમાં સગીર ચડવા ગયોને નીચે પડ્યો:ખૂબ ભીડને લોકો ચાલુ ટ્રેનમાં ચડતાં જોવા નજરે ચડ્યા, અમદાવાદના કાંકરિયામાં રમજાન ઇદના દિવસે દુર્ઘટના થતા રહી ગઈ

અમદાવાદમાં કાંકરિયા પરિસર અમદાવાદીઓ અને બહારથી આવનારા મુલાકાતીઓ માટે ફરવાનું સ્થળ છે. ત્યારે રમજાન ઈદના દિવસે કાંકરિયા પરિસરમાં ચાલતી ટોય ટ્રેનમાં એક દુર્ઘટના થતાં રહી હતી. ચાલુ ટ્રેનમાં કેટલાક લોકો ચડવા ગયા હતાં. જેમાં એક સગીર બાળક નીચે પડ્યો હતો. જોકે સદનસીબે બાજુના ભાગે પડ્યો હોવાના કારણે ટ્રેનની નીચે ન આવતા તેને ઈજા થઈ નહોતી, જોકે નાના બાળકોથી લઇ અને મોટા યુવકો ચાલુ ટ્રેનમાં ચઢી અને ઉભા રહેતા હતાં. આખી ટ્રેન લોકોથી ભરેલી હોવા છતાં પણ લોકો ટ્રેન ઉપર ચડી જતા હતા તેમજ નીચે ઉતરી જતા હતાં. ભીડમાં ચાલુ ટ્રેને લોકો ચડતાં જોવા મળ્યાંચાલુ ટ્રેનમાં ચડવા અને ઉતરવાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. સમગ્ર મામલે કાંકરિયા પરિસર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. કાંકરિયા પરિસરનો હવાલો સંભાળતા HOD પંકજ ભૂતે જણાવ્યું હતું કે, આ મામલે અમે તપાસ કરીશું અને હવેથી જો મોટા તહેવારો આવે અને ખૂબ ભીડ હોય ત્યારે ટ્રેનના દરેક ડબ્બામાં પણ એક વ્યક્તિ મુકીશું જેથી કોઈ ઘટના બને નહીં. ટ્રેનમાં સિક્યુરિટી મૂકાયા છતાં બેદરકારીકાંકરિયાના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, ખૂબ વધારે ભીડ હોવાના કારણે લોકો ચાલુ ટ્રેનમાં આ રીતે ચડે છે અને ખૂબ ધીમી ગતિએ ટ્રેન ચાલતી હોવાના કારણે ચાલુ ટ્રેનમાં ચડવા ઉતરવાનો પ્રયાસ કરે છે. ટ્રેનમાં સિક્યુરિટી મૂકવામાં આવેલી જ છે પરંતુ કેટલાક લોકો આ પ્રમાણે વર્તન કરતા હોય છે. કાંકરિયામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડઅમદાવાદનું કાંકરિયા પરિસર ફરવા માટેનું સ્થળ છે જ્યાં સૌથી વધારે લોકો આવતા હોય છે રજાના દિવસોમાં પણ લોકોની ભીડ વધુ રહેતી હોય છે. ત્યારે ગઈકાલે 21 માર્ચના રોજ રમજાન ઈદનો તહેવાર હોવાના કારણે કાંકરિયામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. જોકે કાંકરિયા પરિસરમાં ચાલતી ટોય ટ્રેનમાં એક દુર્ઘટના થતા રહી ગઈ હતી. ચાલુ ટ્રેનમાં ચડવા ગયો ને નીચે પડી ગયોગઈકાલે (21 માર્ચ) સવારથી જ મોટી સંખ્યામાં લોકો કાંકરિયા પરિસરમાં તહેવાર હોવાના કારણે આવ્યા હતા. કાંકરીયા ફરવા માટે આવેલા નાના બાળકોથી લઇ અને મોટા યુવકો દ્વારા ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રેનમાં ઉપર ચઢી અને નીચે ઉતરવાની મજા લેતા હતા, જોકે એક બાળક માટે આ મજા સજા બની જતી ઘટના બની હતી. ચાલુ ટ્રેનમાં ચડવા જતો હતો પરંતુ તે નીચે પડી ગયો હતો. મજાક મસ્તી સજા બની જાય એવા દ્રશ્યો નાના બાળકોની અને યુવકોની આવી મજાક મસ્તી ક્યારે તેમના માટે સજા બની જાય એવા દ્રશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતાં. નાના બાળકો ચાલુ ટ્રેનમાં ઉપર ચડી રહ્યા હતા અને ઉતરી રહ્યા હતા ટ્રેનમાં મફતમાં ઉપર ચડવા અને નીચે ઉતારવા જેવી સ્થિતિ જોવા મળી હતી. જો કે કાંકરિયા પરિસરની સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ પ્રમાણે મજાક મસ્તી કરનારા લોકોને રોકવામાં પણ ન આવ્યા હોવાની ચર્ચા છે. કાંકરિયાના તંત્રની બેદરકારી, સિક્યુરિટી ગાર્ડ આ જોતા નહીં હોય?જે લોકો કાંકરિયા પરિસરમાં ફરવા માટે આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે પણ સિક્યુરિટી હોવી જરૂરી છે કોઈ દુર્ઘટના ન ઘટે તેના માટે આવા સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે. પરંતુ સિક્યુરિટી ગાર્ડની ધ્યાન ન રાખતા હોવાના કારણે ચાલુ ટ્રેનમાં ચડવા અને ઉતરવા જેવી ઘટનામાં દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ રમજાન ઇદના દિવસે જોવા મળી છે. મોજ મસ્તીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિમાતા પિતા પોતાના સગીર બાળકોને ફરવા માટે એકલા પણ મોકલી દેતા હોય છે ત્યારે સગીર દ્વારા મોજ મસ્તીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ પણ ક્યારેક સર્જાઈ જતી હોય છે. જેથી માતા-પિતા જ્યારે પોતાના બાળકોને બહાર એકલા ફરવા માટે મોકલતા હોય છે ત્યારે આવા બાળકોને એકલા મોકલવા પણ હવે જોખમરૂપ સાબિત થઈ શકે છે. કાંકરિયા પરિસરમાં જે પ્રમાણે સગીર અને બાળકો દ્વારા ચાલુ ટ્રેનમાં મસ્તી કરવામાં આવી છે ત્યારે માતા પિતાએ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 11:02 am

પાળિયાદમાં વિનામૂલ્યે છાશ વિતરણ:મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ખાતે લક્ષ્મણદાસબાપુએ કરાવ્યો શુભારંભ

પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનો પ્રારંભ લક્ષ્મણદાસબાપુની શુભ નિશ્રામાં થયો હતો. પાળિયાદ મહાજન પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્ટના પટાંગણમાં પ્રેરક પરિવાર દ્વારા આ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. ઉનાળાની ગરમીમાં રાહત આપવા માટે આ સેવાભાવી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લક્ષ્મણદાસબાપુએ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના અબોલ પશુઓ માટે ઘાસચારા અર્થે રૂ. 11,100નું દાન અર્પણ કર્યું હતું. આ શુભારંભ કાર્યક્રમમાં પાળિયાદ મહાજન પાંજરાપોળના સેવાભાવી કાર્યકરો અને પૂજ્ય બાપુના સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રેરક પરિવારના આ કાર્યને બિરદાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 10:59 am

સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે હાઈવોલ્ટેજ ડ્રામા, VIDEO:યુવક ઝાડ પર ચડી જતાં ફાયર બ્રિગેડ દોડતું થયું,સેફ્ટી નેટ બિછાવી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી સુરક્ષિત નીચે ઉતારાયો

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પાસે રોડ પર આજે એક યુવકે ઝાડ પર ચડી જઈને ભારે ધમાચકડી મચાવી હતી. યુવકને ઝાડ પર ચડેલો જોઈ લોકોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આખરે ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને સેફ્ટી નેટની મદદથી યુવકનું રેસ્ક્યુ કરી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. લોકોના જીવ તાળવે ચોંટ્યાબનાવની વિગત મુજબ, મજૂરા ગેટ વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ નજીક અચાનક એક યુવક ઉંચા ઝાડ પર ચડી ગયો હતો. યુવકને ઝાડની ડાળીઓ પર જોખમી રીતે બેઠેલો જોઈ રાહદારીઓ ઉભા રહી ગયા હતા. યુવક નીચે કૂદી જશે તેવી બીકને કારણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવક જો નીચે પડે તો તેને ઈજા ન થાય તે માટે સૌથી પહેલા ઝાડની નીચે સેફ્ટી નેટ પાથરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવકની નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ફાયરના જવાનોએ યુવકને નીચે ઉતરવા માટે સમજાવ્યો હતો, પરંતુ તે ટસનો મસ થયો નહોતો. યુવકનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડાયોઆખરે ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ યુવકને પકડી પાડ્યો હતો અને પ્લેટફોર્મ દ્વારા સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યો હતો. યુવક માનસિક રીતે અસ્થિર હોવાની આશંકા સેવાઈ રહી છે. રેસ્ક્યુ કર્યા બાદ તુરંત જ પોલીસ કાફલાએ યુવકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. યુવક કોણ છે અને કયા કારણોસર ઝાડ પર ચડ્યો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Mar 2026 10:57 am