ગોધરા કોલેજના વિદ્યાર્થીઓએ પાવાગઢમાં હેરિટેજ વોક કર્યું:ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ માહિતી મેળવી
ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ પાવાગઢ ખાતે પંચમહોત્સવ અંતર્ગત હેરિટેજ વોકનું આયોજન કર્યું હતું. આ વોક દરમિયાન વિદ્યાર્થીઓએ પાવાગઢના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જિલ્લા નાયબ કલેક્ટર અંજલીબેન ઠાકુરે હેરિટેજ વોકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા કોલેજના આશરે 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પાવાગઢના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને તેમના વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે પંચમહાલ પ્રશાસન દ્વારા આયોજિત પંચમહોત્સવમાં ટેન્ટ સિટી અને વિવિધ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને 'આત્મનિર્ભર ભારત' અને 'લોકલ ફોર વોકલ' અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ વિશે પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું. દિવસભરના કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું. આ હેરિટેજ વોકનું સફળ આયોજન ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. સુરેશભાઈ ચૌધરી, ડૉ. ગૌતમભાઈ ચૌહાણ, ડૉ. ભાવેશભાઈ ચૌધરી અને ડૉ. કેતનભાઈ સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ચા, નાસ્તો, એનર્જી ડ્રિંક અને બપોરનું ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.
મોરબીના રવાપર ગામના એક ખેડૂત હનીટ્રેપનો શિકાર બન્યા છે. મહિલા સહિત આઠ આરોપીઓએ ખેડૂતને બળાત્કાર અને છેડતીના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ₹1.14 કરોડની માંગણી કરી હતી. આરોપીઓએ ખેડૂત પાસેથી સોનાના બિસ્કિટ, ચેન અને રોકડ સહિત કુલ ₹53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો છે. ખેતમજૂરી માટે કામ હોવાનું મહિલાએ જણાવ્યુંઆ અંગે રવાપર ગામના ભરતભાઈ નામના ખેડૂતે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમને ખેતીકામ માટે મજૂરની જરૂર હતી, જેથી તેમણે પાંચાભાઈ કોળીનો સંપર્ક કર્યો હતો. પાંચાભાઈ મારફતે ખુશીબેન પટેલનો સંપર્ક થયો હતો, જેણે ખેતમજૂરી માટે કામ જોઈતું હોવાનું જણાવ્યું હતું. વાડીએ કપડાં ઉતારી ખેડૂતને બાથ ભરી લીધીખુશીબેન પાસે આધાર-પુરાવા ન હોવાથી ભરતભાઈએ તેમને કામે રાખ્યા ન હતા. જોકે, ખુશીબેને ફોન કરીને કામની ખૂબ જરૂર હોવાનું કહેતા ભરતભાઈ તેમને પોતાની વાડીએ લઈ ગયા હતા. વાડીએ ખુશીબેને પોતાના કપડાં ઉતારી ભરતભાઈને બાથ ભરી લીધી હતી. તે જ સમયે અન્ય આરોપીઓ બે અલગ-અલગ કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને ભરતભાઈ તથા ખુશીબેનના ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. 53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધોઆરોપીઓએ આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, તેમજ બળાત્કાર અને છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹1.14 કરોડની માંગણી કરી હતી. ભરતભાઈએ આરોપીઓને સમયાંતરે 100 ગ્રામના ચાર સોનાના બિસ્કિટ, અઢી તોલાનો સોનાનો ચેન અને રોકડા આપ્યા હતા, આમ કુલ ₹53.50 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. સમાધાનના બહાને અપહરણ કરી બોટાદ લઈ ગયાબાકીના રૂપિયાની ઉઘરાણી ચાલુ હતી અને સમાધાનના બહાને આરોપીઓએ ભરતભાઈનું કારમાં અપહરણ કરીને બોટાદ લઈ ગયા હતા. ત્યાં તેમને ગોંધી રાખીને ધાકધમકીઓ આપવામાં આવી હતી. આ ઘટના બાદ ભરતભાઈએ ખુશીબેન પટેલ (ગોંડલ), મુકેશભાઈ આલ (સુદામડા, બોટાદ), રામાભાઈ ગઢડા (નાગલપર, બોટાદ), જીલાભાઈ ભરવાડ (બોટાદ), મનીષભાઈ ગારીયા (બોટાદ), પાંચાભાઈ કોળી (તીથવા, વાંકાનેર), કરણ વરૂ ઉર્ફે કેક (વાંકાનેર) અને દેવાંગ વેલાણી ઉર્ફે પી.ડી. કોળી (બોટાદ) સહિત કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી એ-ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
મહેસાણા જિલ્લાના મગુના ગામમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂના વેચાણને લઈને વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર ત્રાટકી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી અંદાજે 600 લિટર જેટલા દેશી દારૂના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો છે. લાંબા સમયથી બંધ પડેલી 'મગુના આઉટ પોસ્ટ' ને ફરી શરૂ કરાઈનોંધનીય છે કે થોડા દિવસો અગાઉ મગુના ગામની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં મહિલાએ ગામમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ગામમાં લાંબા સમયથી બંધ પડેલી 'મગુના આઉટ પોસ્ટ' ને તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દારૂના અડ્ડાઓ પર દરોડાઆઉટ પોસ્ટ કાર્યરત થતાની સાથે જ પોલીસે ગામમાં પોતાની પકડ મજબૂત કરી છે. દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાની સાથે સાથે પોલીસે આજે ગામના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. આ ઉપરાંત, શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરીઅસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગ્રામજનો સાથે દારૂબંધી સમિતિની રચના કરી થોડા દિવસ અગાઉ સાંથલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.વરચંદ દ્વારા મગુના ઓ.પી.ની ટીમ સાથે હાજરી આપી ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.જે બાદ PIએ ગામમાં અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે ગ્રામજનો સાથે દારૂબંધી સમિતિની રચના કરી હતી. તો તેમની માગ મુજબ 1 PSI અને હોમગાર્ડ સહિત 4 પોલીસ કર્મીઓના સ્ટાફ સાથે મગુના આઉટ પોસ્ટ શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા મળતી રજૂઆતો ધ્યાને લઈ જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ સામે આવે ત્યાં તુરંત કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી
પોરબંદરમાં ટ્રાફિક બ્રિગેડને મળ્યો ખોવાયેલો ફોન:સુદામા ચોક પર ફરજ દરમિયાન માલિકને પરત કર્યો
પોરબંદરમાં ટ્રાફિક શાખાના ટ્રાફિક બ્રિગેડ જવાને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુદામા ચોક ખાતે ફરજ દરમિયાન તેમને એક ખોવાયેલો મોબાઇલ ફોન મળ્યો હતો, જે તેમણે તેના મૂળ માલિકને પરત કર્યો હતો. આ ઘટના ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બની હતી. ટ્રાફિક બ્રિગેડના જવાન કિરણભાઈ સરમણભાઈ ખૂટીને સુદામા ચોક પરથી એક મોબાઇલ ફોન મળ્યો હતો. ફોન ચાલુ હાલતમાં હોવાથી તેમણે તાત્કાલિક ટ્રાફિક શાખાના પો.ઇન્સ. એમ.એલ. આહીરને જાણ કરી હતી. પો.ઇન્સ. આહીરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ વનપ્લસ કંપનીનો મોબાઇલ ફોન હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૩૦,૦૦૦ હતી. ફોનના માલિક પોરબંદરના નિલમબેન દ્વિવેદી હોવાનું ઓળખાયું હતું. આધાર કાર્ડ દ્વારા નિલમબેન દ્વિવેદીની ઓળખ પુષ્ટિ કર્યા બાદ મોબાઇલ ફોન તેમને સુપરત કરવામાં આવ્યો હતો. પોતાનો ખોવાયેલો ફોન પાછો મળતા નિલમબેન દ્વિવેદીએ પો.ઇન્સ. એમ.એલ. આહીર, ટ્રાફિક બ્રિગેડના જવાન કિરણભાઈ ખૂટી અને સમગ્ર ટ્રાફિક પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોરબંદર LCBએ દારૂ કેસનો મુખ્ય આરોપી ઝડપ્યો:રૂ. 35.54 લાખનો જથ્થો મોકલનાર રાહુલ પટેલ ગોંડલથી પકડાયો
પોરબંદર LCB પોલીસે પ્રોહીબીશનના ગુનામાં મોટી સફળતા મેળવી છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બોખીરામાંથી ટ્રકમાં ભરેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયા બાદ, આ દારૂ મોકલનાર મુખ્ય આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. અગાઉ પોલીસે બોખીરા વિસ્તારમાંથી એક ટ્રકમાંથી કુલ 11,868 બોટલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ દારૂની કુલ કિંમત રૂ. 35,54,931 આંકવામાં આવી હતી. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપી રાહુલ સંજયભાઇ પટેલ છે, જે વલસાડના વાઘલઘરા ગામનો રહેવાસી છે. રાહુલ પટેલ છેલ્લા છ માસથી પોલીસથી નાસતો ફરતો હતો. પોરબંદર LCBને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રાહુલ પટેલ ગોંડલ તરફ આવવાનો છે. આ માહિતીના આધારે LCBની ટીમે ગોંડલ-રાજકોટ બાયપાસ રોડ પર ખોડીયાર હોટલ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી ૨૫ વર્ષીય આરોપી રાહુલ સંજયભાઇ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની B.N.N.S. કલમ 35(1) હેઠળ અટકાયત કરવામાં આવી છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રોહીબીશન વિરોધી કાર્યવાહી સતત કડક બનાવવામાં આવી રહી છે.
હાલ એક તરફ ક્રિસમસની ઉજવણી થઇ રહી છે ત્યારે બીજી તરફ નતાલના તહેવાર દરમિયાન બેકરીની ચીજ વસ્તુઓને કારણે લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે મહાનગરપાલિકા દ્વારા બેકરીઓમાંથી કેક અને પેસ્ટ્રી સહિતના આઠ નમુના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. કાલાવડ રોડ કોટેચા ચોકમાં આવેલ ભવાની સેલ્સ એજન્સીમાંથી સ્વીટ ચોકલેટ કેક, પીનેકલ બિલ્ડીંગમાં ધ કેક બારમાંથી ડબલ ડિલાઇટ કેક, કે.પી.ફુડસ (કેક ફોરેસ્ટ એટીએમ)માંથી બટરસ્કોચ કેક, બેક હાઉસમાંથી જર્મન ચોકલેટ કેકના નમુના લેવાયા છે. જ્યારે યુનિવર્સિટી રોડ, પંચાયત ચોકમાં આવેલ પ્રાઇડ ડેલીસીયસ બેકર્સમાંથી પાઇનેપલ અને પ્લમ કેક, જલારામ-4માં આવેલ માહી લાઇવ બેકરીમાંથી ચોકો આલ્મંડ કુકીઝ અને કસાટા પેસ્ટ્રીના સેમ્પલ લેવાયા છે. ફૂડ વિભાગની ટીમે મુંજકા ગામ વિસ્તારમાં આવેલ 20 ધંધાર્થીને ત્યાં 20 નમુનાની ચકાસણી કરીને 11 દુકાનદારોને નોટીસ આપી હતી. તેમાં મુરલીધર પાન, કોલ્ડ્રિંક્સ, જય જલારામ નાસ્તા હાઉસ, મહારાજ ભોજનાલય, રામદૂત ડાઈનીંગ હોલ, બાલાજી રેસ્ટોરેન્ટ, શિવશક્તિ મેડિકલ, ક્રિષ્ના ડાઈનીંગ હોલ, શિવશક્તિ નાસ્તા પોઈન્ટ, જરિયા ડાઈનીંગ હોલ, બંસીધર ફૂડ ઝોન અને ગાત્રાળ ડેરી ફાર્મનો સમાવેશ થાય છે. SIR બાદ હવે મેગા ડોકયુમેન્ટ કલેકશન કેમ્પ યોજાશે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)બાદ હવે આવતીકાલ તા.27 અને 28 તેમજ તા.3 અને 4ના રાજકોટ શહેર જીલ્લાનાં તમામ 2512 મતદાન બુથો પર મેગા ડોકયુમેન્ટ કલેકશન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં જીલ્લાનાં તમામ મતદાન બુથો પર સવારનાં 11 થી સાંજના 5 કલાક સુધી બી.એલ.ઓ. બેસશે આ કેમ્પમાં મતદારો મતદાર યાદીમાં નામ કઢાવી શકશે સાથે વિગતોની ચુકાસણી કરી શકશે.જેમાં નવા મતદાર માટે ફોર્મ-6, મતદાર યાદીમાં નામ કમી કરાવવા માટે ફોર્મ-7 તેમજ સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ-8 મતદારોએ ભરવાનું રહેશે.જેઓની ઉંમર તા.1-1-2026 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરીકોને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે. મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ WWW.voter eci.gov.in ઉપલબ્ધ છે. આ ઉપરાંત રૂબરૂ સેવાઓ માટે કલેકટર કચેરી પ્રાંત કચેરી મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહીતી માટે નાગરીકો હેલ્પ લાઈન નં.1950 પર સંપર્ક કરી શકશે. હવે બાંધકામ વેસ્ટના નિકાલ-પ્રોસેસની રસીદ આપ્યા બાદ જ ટીપી શાખા પ્લાન મંજૂર કરશે રાજકોટમાં રોજ ટનબંધ નીકળતા બાંધકામ વેસ્ટના નિકાલ માટે જગ્યા સહિતની નીતિ કરવામાં આવી છે. આમ છતાં હજુ આડેધડ આજી નદી સહિતના વિસ્તારમાં વેસ્ટ ફેંકવામાં આવતો હોય, મનપાએ કડક નિયમ કર્યા છે. આ ન્યુસન્સ વધતા મનપાએ હવે નિયમને વધુ કડક બનાવી બાંધકામ વેસ્ટનો નિકાલ નાકરાવાડી ખાતે કરવાનાં નિયમો અમલી બનાવ્યા છે જેમા તમામ બાંધકામ વેસ્ટ મનપાનાં વજન કાંટે વજન કર્યા બાદ નિકાલ કરી બંને સ્થળની પાકી પહોંચ ટીપી વિભાગમા રજુ કરે તે બાદ જ બાંધકામ પ્લાનની મંજૂરી અપાશે તેમ નિર્ણય લેવાયો છે. અનંતાનગર સોસાયટીના આસામીને જાહેરમાં બાંધકામ વેસ્ટ ફેંકવા બદલ દંડ કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્યા પર બાંધકામ વેસ્ટ નાખવા બદલ મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આસામી પાસેથી રૂ. 15,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. ગઇકાલે વોર્ડ નં.8 ખાતે કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્યા પર બાંધકામ વેસ્ટ નાખવા બદલ આસામી પાસેથી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. પર્યાવરણ ઇજનેરની સૂચનાથી ટીમે આ દંડ કર્યો હતો. લોકોને જાહેરમાં આવો વેસ્ટ, કચરો ન ફેકવા તેમજ ગંદકી ન કરવા અપીલ કરવામાં આવી છે.
હિંમતનગરના ગાંભોઈ ઓવરબ્રિજ પર બાઇક-કાર અકસ્માત:બેરણાના આધેડ પતિનું મોત, પત્ની ઘાયલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ઓવરબ્રિજ પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક ચાલક 62 વર્ષીય પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. બેરણા ગામના જશુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (ઉં.વ. 62) અને તેમના પત્ની રમીલાબેન બાઇક પર સુરજપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે ગાંભોઈ ઓવરબ્રિજ પર પાછળથી આવતી કારે તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ દંપતીને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જશુભાઈ પટેલનું મોત થયું હતું, જ્યારે રમીલાબેન હાલ સારવાર હેઠળ છે. ગાંભોઈ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે સાત મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. વિજયનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ચૌધરીના જણાવ્યા અનુસાર, પીએસઆઈ ડી.એમ. વસાવા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પરોસડા ગામમાંથી મુકેશભાઈ રાજુભાઈ ખૈર (ઉં.વ. 38, રહે. ખેરગઢ, તા. ખેડબ્રહ્મા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપી મુકેશભાઈએ સાત મહિના પહેલા ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી વખતે પોલીસ નાકાબંધી જોઈ દારૂ રોડ પર ફેંકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાદર પોલીસે બાતમીના આધારે ઇડરના હરિપુરા પાટિયા પાસેથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની 44 ફિરકીઓ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ. 17,600 ની કિંમતની ચાઇનીઝ દોરી સાથે કામિયાબઅલી મુસ્તાખઅલી ગોદડ (ઉં.વ. 18, રહે. કિશોરગઢ, તા. ઇડર) અને આદિલખાન ઉમરખાન શેખ (ઉં.વ. 23, રહે. લીંભોઈ, તા. ઇડર) ને પકડી પાડ્યા હતા. જાદર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેરમાં આયોજિત કામા અશ્વ રમતોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગાય, ઘોડો અને સિંહ એ ગુજરાતની આગવી ઓળખ છે. રાજ્યપાલે ઉમેર્યું કે, તેમના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વાંકાનેરનો આ અશ્વ શો પશુપાલકો અને ખાસ કરીને અશ્વપાલકો માટે પ્રોત્સાહનરૂપ સાબિત થશે. આ રમતોત્સવનું આયોજન ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ અને કામા સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યું હતું. વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત સાંસદ પરસોતમભાઈ રૂપાલા અને ગોંડલ સ્ટેટના હિમાંશુસિંહજી જાડેજા સહિતના રાજવીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ વિભાગના માઉન્ટેન ઘોડા સવારો દ્વારા વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને સંબોધતા જણાવ્યું કે ગીરના સિંહ, ગીર અને કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ તેમજ કાઠિયાવાડી અને મારવાડી ઘોડા ગુજરાતની આગવી ઓળખ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગાય અને ઘોડા પશુપાલકો અને ખેડૂતો માટે સમૃદ્ધિનું પ્રતિક મનાય છે. તેમણે વાંકાનેરના મહારાણા સ્વર્ગીય દિગ્વિજયસિંહ ઝાલાને યાદ કરી પર્યાવરણ અને પ્રકૃતિ માટેના તેમના કાર્યોને બિરદાવ્યા હતા. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે છેલ્લા વર્ષોમાં 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કામા રમતોત્સવ અંતર્ગત અશ્વના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, તેનાથી અશ્વપાલકોને મોટું પ્રોત્સાહન મળે છે.
બોટાદમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP) ની નિમણૂકની માંગ સાથે અનુસૂચિત સમાજ દ્વારા ચલાવવામાં આવી રહેલું પ્રતિક ઉપવાસ આંદોલન આજે પાંચમા દિવસે પણ યથાવત રહ્યું છે. આ આંદોલન બોટાદ જિલ્લા કલેકટર કચેરી સામે ચાલી રહ્યું છે. આ માંગણી વર્ષ ૨૦૧૧માં સરવઈ ગામે બનેલી રાજુ પરમારના અપહરણ અને હત્યાના ગંભીર કેસ સાથે સંબંધિત છે. મૃતકના ભાઈ બાબુ પરમારે આ કેસમાં ન્યાય મેળવવા માટે ખાસ સરકારી વકીલની નિમણૂક કરવાની અપીલ કરી છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્પેશિયલ પીપીની નિમણૂક ન થતાં અનુસૂચિત સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જેના પગલે ૨૨ ડિસેમ્બરથી કલેકટર કચેરી બહાર શાંતિપૂર્ણ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા આ કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં નહીં આવે, ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો દ્રઢ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવે તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર મંડાયેલી છે.
નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને ચૈતર વસાવા દ્વારા કથિત રીતે 75 લાખ માંગવાના આક્ષેપ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયા માંગવાની પૂર્વ કોન્ફરન્સમાં આક્ષેપ કરતા ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરીએ પહોચ્યાં હતા, જે દરમિયાન કલેક્ટર સંજય મોદીએ એવું કહ્યું હતું કે આવી કોઈ વાત નથી. કલેક્ટરે આવું કહેતા સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને પોતે સાચા છે એવું કહેતા ભારતીય જનતા પાર્ટી છોડી દેવાની ધમકી આપી હતી. આજે 26 ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવ સાથે નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. નર્મદા કલેક્ટર સંજય મોદીએ મનસુખ વસાવા, નીલ રાવ સામે ઓન કેમેરા સ્વીકાર્યું કે ચૈતર વસાવાએ પૈસા માંગ્યા એ વાત હેલિપેડ પર કાર્યપાલક ઇજનેરે કહી હતી, અને આ અંગે તેમણે તપાસના આદેશ આપ્યાં છે. બીજી બાજુ ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે કે મનસુખ વસાવા બોખલાઈ ગયા છે, તેમણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને ધમકાવ્યાં જે બાદ ઉપરથી કહેવામાં આવતા કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. ભાજપ નેતાઓ દ્વારા EDની ધમકી અને દબાણને કારણે કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. તમારા જવાબથી મારી રાજકીય કારકિર્દીને નુકસાન થયું, જે હકીકત છે એ જણાવો : મનસુખ વસાવાસાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું જેમાં લખવામાં આવ્યું હતું કે ડેડીયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે મોટા કાર્યક્રમ બાદ સંકલન સમિતિની બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્યએ હિસાબ માંગીને 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 6 ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ કેવડિયા ખાતે સરદાર @150 રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન સમારોહમાં પધારેલા તેમની વિદાય બાદ કેવડિયા હેલીપેડ ખાતે નર્મદા જિલ્લા કાર્યપાલક ઈજનેર માર્ગ મકાને આપને જણાવ્યું હતું કે ધારાસભ્ય ડેડીયાપાડા સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી 75 લાખની માંગ કરે છે. આ બાબતની જાણ આપે મને અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને કરી અને હેલીપેડ પર જ જિલ્લાના બીજા ઉચ્ચ અધિકારીઓ અને કાર્યપાલક ઈજનેર સાથે આ બાબતે ચર્ચા કરી હતી. અધિકારીઓને કોઈ ડરાવે ધમકાવે નહીં અને ખોટી રીતે કોઈ પૈસાની માંગણી ન કરે તે ઉદ્દેશ્ય સાથે મેં રાજપીપલા કમલમ્ ખાતે પત્રકાર મિત્રોને આમ આદમી પાર્ટીના આગેવાનો જિલ્લાના અધિકારીઓ પાસે છાસવારે પૈસાની ઉઘરાણી કરે છે અને 75 લાખ રૂપિયાની માંગણીના મુદ્દાની ચર્ચા કરી. ત્યારબાદ બીજા દિવસે મારે પાર્લામેન્ટ ચાલુ હોવાથી દિલ્લી જવાનું થયું. આ સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખને કોઈક ગેરસમજ ઊભી થતાં મારા વિરુદ્ધ ધરણા પર બેસવાની જાહેરાત કરી, તેઓ ધારણા પર તો ન બેઠા પરંતુ તેઓના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજી મારા વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. તેમને ચોક્કસ કોઈ ગેરસમજ ઊભી થઈ હતી. તો તેમની આ ગેરસમજ દૂર કરવા માટે ફરીથી મેં પત્રકાર મિત્રોને બોલાવી ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ગેરસમજ દૂર કરવા તથા મારા પર તેમના દ્વારા મુકેલા આરોપોનો ખુલાસો કરવા તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયામાં બેફામ પ્રમાણે નિમ્નકક્ષાના જવાબો આપવા મેં નામ જોગ આપની સાથે તથા કાર્યપાલક ઈજનેર સાથે જે ચર્ચા થઈ હતી તે મુજબ 75 લાખની માંગણી બાબતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના નામનો મેં ઉલ્લેખ કર્યો અને કેવડિયા હેલિપેડ પર કાર્યપાલક ઈજનેર, આપની સાથે તથા બીજા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી તથા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની વિસ્તૃત ચર્ચા થઈ હતી તે હકીકત મેં મીડિયાના મિત્રોને જણાવી તેનાથી ધારાસભ્ય ચૈતર વસાવા નારાજ થઈ તમારી સમક્ષ રજુઆત કરી અને પ્રતિઉત્તરમાં આપના જવાબથી મારી રાજનીતિક કારકિર્દીને નુકસાન થાય તેમ છે. મારો ઈરાદો આપને કે સરકારી અધિકારીને ખુલ્લો પાડવાનો ન્હોતો પણ ડૉ. દર્શનાબેન દેશમુખની ગેરસમજ દૂર કરવા માટે જે આપની સાથે કેવડિયા વાત થઈ હતી તે જ પત્રકાર મિત્રોને મેં જણાવી અને આનાથી ઘણા બધા લોકોની ગેરસમજ દૂર પણ થઈ પરંતુ હું જે લડાઈ લડું છું તે સરકારને બદનામ કરનારાઓ, જિલ્લાના અધિકારીઓને ડરાવવા ધમકાવા વાળાઓ સામે લડું છું. મારો આમાં કોઈ અંગત સ્વાર્થ નથી આ પ્રજાહિત સાથે જોડાયેલો મુદ્દો છે તેથી આપે કેવડીયામાં જે વાત કરી હતી તે વાતને વળગી રહેવું પડશે અને મને આશા છે કે આપ એક ઉચ્ચ સંવૈધાનિક પદ પર બિરજમાન છો તો ડેડીયાપાડાના ધારાસભ્યને હકીકત જણાવવી એ જિલ્લાની પ્રજાના હિતમાં છે. ચૈતર વસાવાએ પૈસા માંગ્યા એ વાત હેલિપેડ પર નાયબ ઇજનેરે મનેકહી હતી : કલેક્ટર સંજય મોદીમનસુખ વસાવાએ ઉપરોક્ત સમગ્ર વાત કલેક્ટર સંજય મોદી સમક્ષ રજૂ કરતા કલેક્ટરે કહ્યું હતું કે તેઓ મનસુખ વસાવાના તમામ મુદ્દાનું સમર્થન કરે છે અને ચૈતર વસાવાએ પૈસા માંગ્યા એ વાત હેલિપેડ પર નાયબ ઇજનેરે કહી હતી. મારી ઓફિસમાં આવી કોઈ વાત થઇ નથી. કલેક્ટરે કહ્યું - “માનનીય સાંસદ આપણા માટે સન્માનનીય અને આદરણીય છે. એમણે જે મુદ્દાઓ કહ્યાં એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું. માનનીય સંસદ સભ્યશ્રીએ કહ્યું એ પ્રમાણે હેલિપેડ પર મારે વાત થઈ હતી અને એક્ઝિક્યુટિવ એન્જીનીયર સ્ટેટ જે છે એમના મારફત આ વાત જણાવી હતી. આ મુદ્દે ડેડીયાપાડા ધારાસભ્યએ જે આવેદનપત્ર આપ્યું છે તેની તપાસ પણ મેં સોંપી દીધી છે. એમણે કહ્યું કે એ વાત અહીં મારા કાર્યાલય અને મારી ચેમ્બરમાં થઇ હતી એ વાત ખોટી છે, પણ હેલિપેડ પર આ વાત થઇ હતી એ સાચું છે અને આવી રીતે રૂપિયાની માંગણી થઇ છે એ વાત પણ હેલિપેડ પર થયેલી છે. એમણે સીધી મારી સાથે વાત નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જીનીયર અને કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે. આ વાત મારે માનનીય સંસદસભ્ય સાથે થઇ હતી.” ભાજપની EDની ધમકી અને દબાણથી કલેક્ટરે નિવેદન બદલ્યું : ચૈતર વસાવાચૈતર વસાવાએ આ સમગ્ર ઘટના બાદ નિવેદન આપ્યું કે 24 ડિસેમ્બરે કલેક્ટરને મળવા ગયા હતા ત્યારે તેમણે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આવી કોઈ વાત નથી. કાર્યપાલક ઇજનેરે પણ એવું કહ્યું કે તેઓ 7 ડિસેમ્બરથી રજા પર છું, હું આ વાતમાં છું જ નહિ. મનસુખ વસાવા બોખલાઈ ગયા છે, તેમણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને ધમકાવ્યાં જે બાદ ઉપરથી કહેવામાં આવતા કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. મનસુખભાઈના દબાણ બાદ આ આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. કલેક્ટર બંધારણીય પદ પર બેસીને આવી બે મોઢે વાત કરે એ શોભે નહીં. અમે જે ખુલાસો માંગ્યો છે એ 7 દિવસમાં કાલકેટર અમને આપે. અમારી કારકિર્દીને નુકસાન થાય એ સખી લઈશું નહીં. જે પણ શાખાઓમાથી 10 ગણા ખર્ચા થયા છે તેની પણ CID તપાસની માંગ કરીએ છીએ. ખર્ચ કરનારી એજેન્સીઓ મનસુખ વસાવાને સંબંધિત હતી જેથી તેમનું ચરિત્ર સામે ન આવે તે માટે તેઓ રાજીનામુ આપવા સુધી પહોંચી ગયા છે. અમને વાત મળી છે કે કલેકટરને ભાજપના નેતાઓ દ્વારા ED સુધીની ધમકી આપવામાં આવી છે. સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તા સામે શાણપણ નકામું છે. અમે કહીએ એ પ્રકારે નિવેદન આપવાનું છે. કલેક્ટર સાહેબની હું મજબૂરી સમજી શકું છું. દબાણને કારણે કલેક્ટરને પોતાની વાત ફેરવી તોળવી પડી છે. આવનારા દિવસોમાં આ કાર્યક્રમના ખર્ચની તમામ માહિતી માંગીશુ અને CID તપાસની માંગ કરીશું અને જે પણ ખર્ચ થયો છે તેની રિકવરી થાય તેવી માંગ કરીશું.
વર્ષ 2022માં ભારતના વિદ્યાર્થીઓએ વિદેશ ભણવા માટે પોણા ચાર લાખ કરોડથી વધુ રૂપિયા વાપર્યા હતા અને આ વર્ષે 6 લાખ કરોડ રૂપિયા વાપરવાના છે. 6 લાખ કરોડની રકમ એટલે મોદી સરકારના કૂલ શિક્ષણ બજેટ કરતા પાંચ ગણી વધારે રકમ. એક બાપ આજના સમયમાં પેઢીઓની જમીન વેચી દે છે અથવા આખી જિંદગીની મૂડી એરપોર્ટ પર દીકરા કે દીકરીને બાય-બાય કહેવા માટે ખર્ચી નાખે છે. જો હજુ પણ ભારત સરકારે પોતાનું શિક્ષણ ન સુધાર્યું તો ભવિષ્યમાં સૌથી તેજસ્વી મગજ વિદેશમાં જતા રહેશે. આપણે આપણા જ દેશનું ટેલેન્ટ પશ્ચિમને પીરસી રહ્યા છીએ જેના શરૂઆતના ભણવા પાછળનો ખર્ચો આપણા ટેક્સના રૂપિયાથી થયો છે. નમસ્કાર.... નીતિ આયોગે હમણા થોડા દિવસો પહેલા ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. 266 પાનાના આ રિપોર્ટને ધ્યાનથી વાંચીએ તો આપણી સામે એક વિલન સામે આવે છે જે છે આપણી પોતાની શિક્ષણ વ્યવસ્થા. જેના કારણે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે દીકરા કે દીકરીનું ભવિષ્ય સિક્યોર કરવું હોય કે આગળ વધારવો હોય તો વિદેશમાં ભણવા મોકલો અને વિદેશમાં જ સેટલ કરવું. આમાં મા-બાપનો કંઈ વાંક નથી પણ આપણી શિક્ષણ વ્યવસ્થાનો જ વાંક છે કે આપણે યોગ્ય શિક્ષણ વિદ્યાર્થીઓને આપી નથી શકતા જેના કારણે બાળકોને વિદેશ ભણવા મોકલવા પડે છે. દેશમાં પરિસ્થિતિ એ લેવલે પહોંચી ગઈ છે કે ગરીબ દેશનો 1 વિદ્યાર્થી ભારતમાં ભણવા આવે છે અને સામેની બાજુ આપણે 28 વિદ્યાર્થીને ભણવા માટે બહાર મોકલીએ છીએ. નીતિ આયોગનો રિપોર્ટ મતલબ (ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) સાવ એવું પણ નથી કે સરકાર પ્રયાસ નથી કરી રહી. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે નીતિ આયોગે સરકારને 22 ભલામણો કરી છે. મેકોલેની શિક્ષણ નીતિએ ઘોર ખોદી આપણા ઈતિહાસમાં નજર કરીએ તો ભારત ક્યારેય શિક્ષણનું એક્સપોર્ટર નહોતું. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી જેવી વિશ્વવિદ્યાલયમાં ભણવા માટે વિદેશથી લોકો ભારત આવતા હતા. પરિસ્થિતિ ત્યારે બગડી જ્યારે મેકોલેની એજ્યુકેશન પોલિસીએ વિદ્વાન નહીં પણ ક્લાર્ક પેદા કરવાની પ્રોસેસ શરૂ કરી. ટોપ 100 યુનિ.માં ભારતની એકપણ નહીં આ વાત સાંભળીને કદાચ વાલીઓને સારું નહીં લાગે પણ વિશ્વની સૌથી સારી 100 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. વર્ષ 2025ના QS રેન્કિંગમાં ભારતની સર્વોચ્ચ સંસ્થા IIT બોમ્બે છે, જેનો ક્રમ 118મો છે. આ ગંભીર વાતને ત્રણ પાસાંથી સમજીએ 1) આર્થિક પાસું વિદેશમાં ભણવા માટે જવામાં થતો નાણા પ્રવાહ છેલ્લા 10 વર્ષમાં 30 ગણો વધ્યો છે. વિદેશમાં ભણવા પાછળ ભારતીયોનો ખર્ચ મતલબ કે, જો તેમાં વિદ્યાર્થીઓના જે તે દેશમાં રહેવાનો ખર્ચ, જમવાનો ખર્ચ અને અન્ય ખર્ચાઓ ઉમેરવામાં આવે, તો ભારતની બહાર વહી જતી સંપત્તિનો આ આંકડો 29 હજાર કરોડથી પણ ઘણો વધારે હોઈ શકે છે. 2) રાજકીય પાસું ડો. આંબેડકરે કહ્યું હતું શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે દહાડશે. શિક્ષણને ભારતના સંદર્ભમાં સૌથી મોટું કૂટનીતિક હથિયાર પણ માની શકાય. કારણ કે જે દેશના વિદ્યાર્થી અથવા ભાવિ નેતા ભારતમાં ભણશે તેઓ ભારતની સંસ્કૃતિના વાહક બનશે. માટે જ નીતિ આયોગે 2047 સુધીમાં વધુમાં વધુ વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં લાવવા માટે પ્લાન ઘડ્યો છે. પણ સામેની બાજુ ભારતના વિદ્યાર્થીઓને બહાર જતા રોકવા તેનાથી પણ જરૂરી વિષય છે. 3) સામાજિક પાસું 29 હજાર કરોડમાં દેશના 3 ટકા ધનીક પરિવારના વિદ્યાર્થી વિદેશમાં ભણે છે. જ્યારે આજની તારીખે દેશના 97 ટકા વિદ્યાર્થીઓ 6 લાખ કરોડના બજેટમાં ભારતમાં જ ભણે છે. તેમને પણ વૈશ્વિક દૃષ્ટિકોણ માટે વૈશ્વિક એક્સપોઝર આપવું જરૂરી છે પણ તે બ્રેઈન ડ્રેઈનના ભોગે ન હોવું જોઈએ. એટલે કે તેનો ઉપયોગ પછી ભારતમાં જ થવો જોઈએ તે વિદ્યાર્થી સારી ડિગ્રી મેળવીને વિદેશમાં સ્થાયી ન થાય તેવું માળખું દેશ માટે અતિ જરૂરી છે. વિશ્વનો શિક્ષણ પાછળ ખર્ચ અને ભારત ક્યાં? સ્ક્રીન પણ તમને વિશ્વના દસ દેશ દેખાય છે જે પોતાની જીડીપીના કેટલા ટકા શિક્ષણ પાછળ ખર્ચે છે તે જોઈ શકાય છે. અહીં તમે ભારત જુઓ અને બીજા દેશો જુઓ તે શિક્ષણને કેટલી ગંભીરતાથી લે છે. દુનિયામાં શિક્ષણ પાછળ ખર્ચ (ખર્ચ કુલ GDPની ટકાવારીમાં) અમેરિકા 6.1% બ્રાઝિલ 6% બ્રિટન 5.5% ફ્રાન્સ 5.4% કેનેડા 5.3% દક્ષિણ કોરિયા 5.1% જર્મની 4.8% ભારત 4.5% ચીન 4.2% જાપાન 3.6% (Source: ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) 60 વર્ષ થયા પણ શિક્ષણ પાછળ ખર્ચ ન વધ્યો! 1966માં કોઠારી કમિશને પહેલીવાર કહ્યું હતું કે ભારતે GDPના 6% શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ. 60 વર્ષ વીતી ગયા, 3 શિક્ષણ નીતિઓ આવી, પણ આપણે ક્યારેય એ 6% ના જાદુઈ આંકડાને સ્પર્શી શક્યા નથી. શિક્ષણ પાછળનો આ ઓછો ખર્ચ જ કદાચ આપણી નબળાઈનું મુખ્ય કારણ છે. વિદેશમાં શિક્ષણ ભારત માટે પગ પર કુહાડી અમેરિકા જનારા ભારતીય વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના STEM એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ અને મેથ્સ ક્ષેત્રના હોય છે. ટૂંકમાં ભારત પોતાની ટેકનોલોજીકલ શક્તિ બીજા દેશોને મફતમાં આપી રહ્યું છે. અમેરિકામાં નવી H-1B વિઝા અરજીઓ માટે 1 લાખ ડોલરની ફી લાદવાની દરખાસ્ત છે. વાલીઓને સમજવું પડશે કે વિદેશ જવું એ હવે માત્ર ભણતર નથી, પણ બહુ મોટું આર્થિક જોખમ છે. આપણે સમજવું પડશે કે પશ્ચિમી દેશો ભારતને માત્ર એક પ્રોફિટેબલ માર્કેટ તરીકે જુએ છે. અમેરિકા, કેનેડા અને યુકેની યુનિવર્સિટીઓ માટે ભારતીય વિદ્યાર્થીઓ તેમનું અર્થતંત્ર ચલાવવાનું સાધન છે. આવું ન થાય તેના માટે સરકારે આ નીતિ આયોગના રિપોર્ટમાં ગિફ્ટ સિટીમાં એવું કેમ્પસ બનાવવા જઈ રહી છે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ આવીને ભણે અને ભારતને તે વિદ્યાર્થીઓના ભણતર પાછળ ખર્ચ થતા રૂપિયાથી લાભ થાય. નીતિ આયોગની ભલામણ છે કે 2047 સુધીમાં 8 લાખ વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે. હવે આપણે આ રિપોર્ટમાં ગુજરાત માટે શું છે તેની પણ વાત કરીએ. નીતિ આયોગ કહે છે ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થી અભ્યાસ માટે વિદેશ ગયા? (Source: ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) એટલે કે, 2025ના આંકડાઓ આવશે ત્યારે શું ખબર આપણે દેશના ટોપ 3 દેશોમાં હશું જે રાજ્યના સૌથી વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જતા હશે. કહેવાનો અર્થ એ છે કે જો આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં સુધારો નહીં કરીએ, તો આપણે વૈશ્વિકને લીડર આપશું અને દેશમાં એવરેજ વિદ્યાર્થીઓ જ રહી જશે. વર્લ્ડ લેવલનું શિક્ષણ હવે ભારતમાં આવું ન થાય તેના માટે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડીકિન અને યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ જેવી યુનિવર્સિટીએ પોતાના કેમ્પસ નાખ્યા છે. જેના લીધે હવે ગુજરાતના વિદ્યાર્થીને કેનેડાની ઠંડીમાં ગેસ સ્ટેશન પર મજૂરી કરવાની કોઈ જરૂર નથી. વિદેશી લેવલનો અભ્યાસ ગુજરાતમાં જ થશે અને વિદ્યાર્થીઓને દેશમાં જ નોકરી મળી રહેશે. બ્રેઈન ડ્રેઈન થઈ શકે એટલું ઓછું થઈ જશે. શાહરુખ ખાનની ફિલ્મ હતી રઈશ. જેમાં ડાયલોગ હતો કે ગુજરાતની હવામાં જ વેપાર છે. તો ગુજરાતી માનસિકતાથી વિચારીએ તો ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ આવશે એ એક પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ જ છે. અને ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અહીં જ ભણશે. ધીમે ધીમે વિદેશમાં જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવો એ જ લક્ષ્ય હોવું જોઈએ. લોકોને એ જાણવામાં પણ રસ હોય છે સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા દેશમાં ભણવા માટે જતા હોય છે તો નીતિ આયોગના રિપોર્ટ મુજબ... ભારતીયોનો ભણવા માટેનો હોટ ફેવરિટ દેશ ક્યો? સૌથી વધુ અમેરિકા, તેના પછી કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, રશિયા, સાઉથ કોરિયા, ચાઈના અને દસમા નંબરે સ્પેનમાં ભણવા માટે જાય છે. 2024માં કયા દેશમાં કેટલા વિદ્યાર્થી ગયા? (Source: ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) સૌથી વધુ ભારતીય વિદ્યાર્થી કયા દેશમાં જાય છે? 2004માં અમેરિકા પ્રથમ નંબરે હતો, 2024માં પણ પ્રથમ નંબરે અમેરિકા જ હતો. 2004માં કેનેડા 9મા નંબરે હતો, 2024માં કેનેડા બીજા નંબરે આવી ગયો. એટલે કે, આ 20 વર્ષમાં કેનેડા ભણવા જવાનો ક્રેઝ વધ્યો છે. અને છેલ્લે….. આપણે 2025-26ના બજેટમાં ડિફેન્સ માટે જેટલા રૂપિયા ખર્ચવાના છીએ, લગભગ એટલી જ રકમ આપણા વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીઓને ફીમાં આપી રહ્યા છે. આ શિક્ષણનું એક્સપોર્ટ છે જે આપણે ઘટાડવી જ પડશે. કારણ કે વિશ્વગુરુ બનવાની શરૂઆત વિદેશીઓને ભારતમાં લાવવાથી કે મોકલવાથી નથી થતી, પણ ભારતના તેજસ્વી મગજને ભારત મારું છે અને અહીં મને શ્રેષ્ઠ તક મળશે એવો અતૂટ વિશ્વાસ અપાવવાથી થાય છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. GPRB/2023-24/1 અંતર્ગત 13 ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલી બિન હથિયારી PSI લેખિત પરીક્ષા પેપર-2 (Gujarati English Language Skill – Descriptive)ના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓ પોતાના માર્ક્સ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gprb.gujarat.gov.in તેમજ lrdgujarat2021.in પર જોઈ શકશે. જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાના પેપર-૧ (પાર્ટ-A અને પાર્ટ-B) માં કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના પેપર-ર ના ગુણ જોવા માટે https://t.co/2r7w4xiQBR તથા https://t.co/wvsBPYFSFG ઉપર કલીક કરો.— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) December 26, 2025 રીચેકિંગ પ્રોસેસ બાદ મેરિટના આધારે બે ગણા ઉમેદવારોની યાદી જાહેર કરાશેજે ઉમેદવારો પેપર-2ના માર્ક્સ અસંતોષ ધરાવતા હોય તેઓ રીચેકિંગ માટે 10 જાન્યુઆરી, 2025ના સવારે 11 વાગ્યા સુધી અરજી કરી શકશે. રી-ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરિટના આધારે બે ગણાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે, જેના આધારે આગામી દસ્તાવેજ ચકાસણીની કાર્યવાહી હાથ ધરાશે.
સુરત શહેરમાં આજે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકામાં ચાલતા અનેક કૌભાંડો વિશે પાલિકાના અધિકારીઓ અને શાસકો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓએ સુરત મહાનગર પાલિકાના સ્લીપર મશીનના કામોમાં ભ્રષ્ટાચાર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં કૌભાંડ, ઉબેર કચરા કાંડ, સિક્યુરિટીમાં કૌભાંડ, સીટી લિંકમાં ભ્રષ્ટાચાર જેવા ગંભીર આક્ષેપો કર્યા છે અને જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ તમામ માહિતી તેઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના ઓડિટ રિપોર્ટના આંકડાકીય માહિતીના આધારે આપવામાં આવી છે. જેથી પાલિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને શાસકો દ્વારા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકાના ઓડિટ રિપોર્ટ સ્પષ્ટ બતાવે છે કે શહેરનું સંચાલન કોઈ યોજના કોઈ જવાબદારી અને કોઈ નીતિ અને નિયંત્રણ વગર ચાલી રહ્યું છે. તેઓએ પાલિકાના ઓડિટ રિપોર્ટ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આ કોઈ વિરોધ પક્ષનો દસ્તાવેજ નથી પરંતુ સુરત મહાનગર પાલિકાનો પોતાનો દસ્તાવેજ છે અને એ જ મહાનગર પાલિકાની ખરી હકીકતનો અરીસો બતાવે છે. પાયલ સાકરીયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કરોડો રૂપિયાના કામો કાગળ પર પૂર્ણ કરવામાં આવે છે પરંતુ હકીકતમાં જમીન પર કોઈ કામો દેખાતા નથી. જેના કારણે ત્યાં ભ્રષ્ટાચાર ન થાય તો શું થાય તેમ કહીને વેધક સવાલો ઊભા કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતા સ્લીપર મશીનમાં કામોમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. આ ઉપરાંત ગાર્બેજ કલેક્શનમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને ઉબેર કચરા કાંડ સાથે સિક્યુરિટીમાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે. આ ઉપરાંત સીટી લિંકમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. જેમાં કામો થયા વગર જ કાગળ પર પૂરા કરી બિલ રજુ કરી દેવામાં આવે છે પરંતુ જમીન પર તે પ્રમાણે કામો થતા નથી. જેથી ભ્રષ્ટાચાર થતો હોવાના તેઓએ આક્ષેપો કર્યા છે. જવાબદાર વિભાગ, અધિકારી અને કમિટી સામે જીપીએમસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ વિપક્ષ નેતા પાયલ સાકરીયા જણાવ્યું હતું કે ઓડિટ રિપોર્ટ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે શાસન વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. શાસકોને આ ઓડિટ રિપોર્ટ ખોટો લાગતો હોય તો તેઓ સાબિત કરે અથવા તો પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે તેવું પણ તેઓએ જણાવ્યું છે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ઓડિટમાં જે તે વિભાગ અધિકારી અથવા કમિટી જવાબદાર હોય તેમના વિરુદ્ધ જીપીએમસી પ્રમાણે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને કસૂરવાર સામે દાખલારૂપ પગલા લેવામાં આવે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં થયેલ મોટા પ્રોજેક્ટનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે સાથે સુરત મહાનગર પાલિકામાં ભ્રષ્ટાચાર દૂર કરવા પારદર્શકતા લાવવા માટે તમામ ટેન્ડર તમામ ચુકવણા તેમજ કામની પ્રગતિ ઓનલાઇન જાહેર કરવામાં આવે. આવનારા વર્ષમાં કેપિટલ તેમજ રેવન્યુ ખર્ચ પર અંકુશ રાખવાની જરૂર પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે મનપાના મોટા પ્રોજેક્ટો નિભાવ માટે કેપિટલ ખર્ચ ૩૪% જેટલો થયો છે. આ ખર્ચને ઓછો કરવા નવા પ્રોજેક્ટની ડિઝાઈન કરતી વખતે ધ્યાન રાખવાની જરૂર છે. તેઓએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૯૬૮ કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ થયો છે. જેની સામે ૩૪% મરામત ખર્ચ એટલે કે ૬૩૮ કરોડ થયો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫૧૫ કરોડ કેપિટલ ખર્ચ સામે ૩૧ ટકા મરામત ખર્ચ એટલે ૭૯૫ કરોડ થયો છે. જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩૨૦૨ કરોડ કેપિટલ ખર્ચ સામે ૩૫% મરામત ખર્ચ એટલે ૯૦૬ કરોડનો ખર્ચ થયો છે. જેથી સુરત મહાનગરપાલિકાને આવકના સ્ત્રોત વધે અને આવનારા વર્ષમાં કેપિટલ તેમજ રેવન્યુ ખર્ચ પર અંકુશ રાખવાની તેઓએ જરૂર હોવાનું જણાવ્યું છે. પાલિકાનાં જનરલ એડવાન્સ ખર્ચમાં પણ મોટી ગોબાચારી વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં જનરલ એડવાન્સ નો ખર્ચ જે તે વિભાગમાં અને ખાતામાં હોવો જોઈએ. તેની જગ્યા પર અધિકારીઓની અણઆવડતને કારણે અંદાજો બનાવવાની સંપૂર્ણ નિષ્ફળતા હોવાને કારણે આ ખર્ચાઓ મનપાના જનરલ એડવાન્સમાં પાડવામાં આવે છે. આ બાબતે ઓડિટ રિપોર્ટર વિભાગએ વડાઓને પોતાના નિયંત્રણ હેઠળની કામગીરીના અંદાજો અને ચોકસાઈ પૂર્વકની નીતિ નક્કી કરવામાં આવતી નથી. જેથી દરેક વિભાગોમાં નીતિ નિયમોના અભાવના કારણે મોટી ગોબાચારી થતા હોવાના અને તેમાં કોઈપણ અધિકારીઓ કે પદાધિકારીઓનું નિયંત્રણ ન હોવાના આક્ષેપો કરાયા છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં ૯૫૧ કરોડનો જનરલ એડવાન્સ ખર્ચ તથા વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૧૯૪ કરોડનો જનરલ એડવાન્સ ખર્ચ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૪૦૬ કરોડનો જનરલ એડવાન્સ ખર્ચ ઓડિટ રિપોર્ટમાં બતાવવામાં આવ્યો છે. બે વર્ષમાં ૪૩૨૪ જેટલા વાંધા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા ઓડિટ રિપોર્ટમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં ૨૭૦૮ વાંધાઓ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૬૧૬ વાંધાઓ નોંધાયા છે. એટલે કે માત્ર બે વર્ષમાં ૪૩૨૪ જેટલા વાંધા ઓડિટ રિપોર્ટમાં દેખાડવામાં આવ્યા છે. જેને વિપક્ષે અતિ ગંભીર બાબત ગણાવી છે અને તેઓએ આક્ષેપ કર્યો હતો કે આમાંના ૭૦% વાંધા સક્ષમ સત્તાની જાણ કર્યા વગર પોતાની મનમાની ચલાવીને બિલો પાસ કર્યા હોય તેવા છે. વર્કશોપ અને બ્રિજસેલમાં બિલ અમાન્ય કરાયું એડી.સિટી ઈજનેરને ડેલીગેશન ઓફ પાવર ન હોવા છતાં કામગીરી લંબાવવા માટે તેમજ કામગીરીમાં કોઈપણ પ્રકારનો વધારો ઘટાડો ના કરી શકાઈ તેમ હોય છતાં પણ સહી કરીને મંજુરી આપવામાં આવી હતી. જે ભૂલ ઓડિટ માં દેખાતા બિલ અમાન્ય કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં તા.૯/૧/૨૦૨૩ના વાહનોના મંજૂર ભાવ કરતાં વધારે હોવા છતાં બિલ રજૂ કરાયા હતા. જેથી શાસકો દ્વારા બિલ અમાન્ય કરાયું હતું. જેથી પાયલ સાકરિયાએ આ બંને વાંધા પર તપાસ થવી જોઈએ અને જે તે અધિકારીના કોન્ટ્રાકટર સાથેના સબંધોના કારણે કે આર્થિક ફાયદો મેળવા માટે ખોટી રીતે બિલ મૂક્યું છે કે કેમ તે બાબતે તપાસ કરી આવા ભ્રષ્ટ અધિકારી પર કાર્યવાહીની માંગ કરી છે. એક જ કામ માટે ઇજારદારને બે વાર ચુકવણું કરાયું પબ્લિક પાર્કસ અને ગાર્ડન વિભાગમાં ઈજારદારને એક જ કામ માટે બે વખત ચૂકવણા થયા છે. મ્યુ. ઓડિટરે ખુલાસો કરતાં કહ્યું છે કે એક જ કામ માટે બે બિલ ચૂકવાયા છે. જેથી પાયલ સાકરિયાએ જે તે કર્મચારી કે અધિકારી પાસે ખુલાસો માંગી કસૂરવાર હોય તેના પર શિક્ષાત્મક કાર્યવાહી કરી દાખલો બેસાડવા માંગ કરી છે. સ્મીમેરમાં કીટ ખરીદવામાં ગોબાચારી પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સ્મીમેરમાં ઈજારદાર પોતે મૂળ કિટના ઉત્પાદક છે. જે ઈમેલથી કીટ ૭૯૯૨ ના ભાવે સપ્લાય કરવા સંમતી તેમણે આપી હતી. તેમ છતાં પણ આ કંપનીના ઓથોરાઈઝડ ડીલર પાસેથી પાલિકા દ્વારા રૂપિયા ૯૦૦૦ ના ભાવે કીટની ખરીદી કરવામાં આવી હતી.
હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 ડિરેક્ટરોની ચૂંટણી 11 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. બેંકના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. મતદાન સવારે 8 થી સાંજના 5 કલાક સુધી હિંમત હાઈસ્કૂલ ખાતે થશે, જ્યાં સાંજે મતગણતરી પણ કરવામાં આવશે. ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ બેંકના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યો છે. બેંકના પેટા કાયદા મુજબ, 13 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થવા આવી હોવાથી ચૂંટણી યોજાઈ રહી છે. જાહેરનામા અનુસાર, કુલ 13 ડિરેક્ટરોમાંથી 10 બેઠકો સામાન્ય વર્ગ માટે રહેશે. જ્યારે 2 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે અને 1 બેઠક અનુસૂચિત જાતિ અથવા જનજાતિ માટે અનામત રહેશે. હિંમતનગર નાગરિક સહકારી બેંકની એક મુખ્ય શાખા અને છ બ્રાન્ચ કાર્યરત છે. બેંકમાં કુલ 65 કર્મચારીઓ ફરજ બજાવે છે. બેંકનું વાર્ષિક ટર્નઓવર 580 કરોડ રૂપિયા છે. હાલમાં બેંકમાં 32,876 મતદારો અને 1,05,000 ખાતેદારો નોંધાયેલા છે.
રાજપીપળા શહેરના હરસિદ્ધિ મંદિર રોડ પર આવેલા દશા માતાના મંદિર પાસે આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બાઈક સ્લિપ ખાઈને એક હાઈવા ટ્રક નીચે આવી જાય છે. જેમાં નિકોલી ગામના એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પૌત્રનો આબાદ બચાવ થયો હતો. ટ્રકની અડફેટે ચડેલી બાઈક ટાયરમાં આશરે 100 મીટર સુધી ઢસડાઈ હતી વૃદ્ધ બાઈકની પાછળ બેઠા હતા. આ સમગ્ર અકસ્માતના રૂવાડાં ઊભા કરી દે તેવા કમકમાટીભર્યા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આખો બનાવ શું છે?મળતી માહિતી મુજબ, નાંદોદ તાલુકાના નિકોલી ગામના રહેવાસી શાંતિલાલ ભુદરભાઈ વસાવા તેમના પૌત્ર મેહુલભાઈ અનિલભાઈ વસાવા સાથે રાજપીપળા ખાતે કોઈ કામ અર્થે આવ્યા હતા. કામ પતાવીને બંને દાદા-પૌત્ર બાઈક પર પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે દશા માતાના મંદિર નજીક મુખ્ય રોડ પર એક હાઈવા ટ્રક પસાર થઈ રહી હતી. દરમિયાન ત્યાં અન્ય ટુવ્હિલર પણ નીકળી રહ્યા હતા. અચાનક બાઈક સ્લિપ થઈ ગઈ હતી. જેમાં દાદા અને પૌત્ર રોડ પર પછડાયા હતા. જેમાં દાદા પર ટાયર ફરી વળ્યાં હતાં. 100 મીટર સુધી બાઈક ઢસડાઈઅકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની અડફેટે ચડેલી બાઈક ટાયરમાં આશરે 100 મીટર સુધી ઢસડી હતી. આ દરમિયાન શાંતિલાલ ટ્રકના તોતિંગ પૈડા નીચે આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પૌત્ર મેહુલને સામાન્ય ઈજાઓ પહોંચતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ રાજપીપળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. CCTV ફૂટેજમાં કેદ થઈ ઘટનાઆ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાઈક અચાનક સ્લીપ ખાઈ જાય છે. આવીને સીધું જ ટ્રકના તોતિંગ ટાયર નીચે આવી જાય છે. ઘટનામાં ચમત્કારિક રીતે બાઈક ચલાવતાં પૌત્રનો બચાવ થાય છે. જોકે, બદનસીબ દાદા રોડ પર પટકાયા તેની સાથે જ ટ્રકના પાછલા ટાયર ફરી વળતાં શરીર કચડાઈ જવાથી માંસના લોચેલોચા નીકળી જાય છે. અકસ્માતને પગલે આસપાસના રહીશો અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પરસોન્ડા એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ:શ્રેયાંશ સ્કૂલ ખાતે 151થી વધુ બોટલ રક્ત એકત્રિત
રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં આવેલી શ્રેયાંશ સ્કૂલ ખાતે સ્વ. શૈલેષ પરસોન્ડાની 12મી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરસોન્ડા એસોસિએશન દ્વારા યોજાયેલા આ કેમ્પમાં ૧૫૧થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, ભાજપ પ્રમુખ માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તેમજ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનના હોદ્દેદારો ભારત ગાજીપરા અને અજય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકાર્યમાં શ્રેયાંશ સ્કૂલના વાલીઓ, શિક્ષકો અને સંચાલકોએ પણ ઉત્સાહભેર રક્તદાન કરીને સહભાગી બન્યા હતા.પરસોન્ડા એસોસિએશન દ્વારા આયોજિત આ કેમ્પમાં 151થી વધુ બોટલ રક્ત એકત્રિત થતાં સહયોગી લાઈફ બ્લડબેંક દ્વારા આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે ₹321.72 લાખના ખર્ચે નવનિર્મિત ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ધારી અને બગસરા ખાતે બનનારા નવા ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુંકાવાવ તાલુકાના મુસાફરોને આ નવી સુવિધાનો લાભ મળશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કુંકાવાવ ST ડેપોમાં મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં પ્લેટફોર્મ, બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટીન, RO વોટર રૂમ, પાર્સલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ અને સ્ટોર રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રજા માટે શૌચાલય અને ST વિભાગના કર્મચારીઓ માટે કંડક્ટર રૂમ સહિતની વિવિધ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. 'જો ગેરરીતિ જણાશે તો તેમને બ્લેકલિસ્ટ કરીશું'આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સુવિધાઓ વ્યવસ્થિત બને તે માટે સરકાર ઘણા પગલાં લઈ રહી છે. તેમણે વર્ષોથી કામ કરતા લોકોને ચેતવણી આપતા કહ્યું કે, જો ગેરરીતિ જણાશે તો તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. 'લોકોના પૈસાનું શોષણ કરનારાઓને છોડવામાં નહીં આવે'મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય અને દેશમાં આવા લોકોને કામ કરવા દેવામાં આવશે નહીં. અમરેલીમાં કેટલીક બાબતો તેમના ધ્યાનમાં આવી છે અને તે અંગે રિપોર્ટ મંગાવી વિજિલન્સ તપાસ પણ મુકવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, લોકોના પૈસાનું શોષણ કરનારાઓને છોડવામાં આવશે નહીં. વાઘાણીએ કુંકાવાવ તાલુકાને જવાબદારી સોંપતા કહ્યું કે, યોગ્ય રીતે કામ થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
વડોદરાના હરણી સ્થિત અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ (CBSE) દ્વારા ૨૫મી ડિસેમ્બરે વિદ્યાર્થીઓ માટે 'ફન ફિયેસ્ટા' અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 'લાફ્ટર, લવ એન્ડ એલિગન્ટ કાર્નિવલ' થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના મનોરંજન માટે એક જાદુગરને આમંત્રિત કરાયા હતા. જાદુગરે પોતાની કરતબથી બાળકોને મંત્રમુગ્ધ કર્યા હતા, અને બાળકોએ તાળીઓના ગડગડાટ સાથે મેજિક શોનો આનંદ માણ્યો હતો.કાર્નિવલનું મુખ્ય આકર્ષણ મેદાનમાં દોડતી મિની ટ્રેન 'અંબે એક્સપ્રેસ' હતી. નાના વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો સાથે ટ્રેનમાં બેસીને મુસાફરીનો આનંદ માણ્યો હતો. શાળાના પટાંગણમાં વિશાળ 'જમ્પીંગ સ્લાઈડ' અને 'બોટ સ્વિંગ' જેવી રાઈડ્સ પણ ઉપલબ્ધ હતી. વિદ્યાર્થીઓએ આ રાઈડ્સમાં બેસીને અને કૂદાકૂદ કરીને ભરપૂર આનંદ મેળવ્યો હતો.મનોરંજનની સાથે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા ક્રાફ્ટ એક્ટિવિટીનું પણ આયોજન કરાયું હતું. બાળકોએ રંગીન કાગળો અને રંગોનો ઉપયોગ કરીને ફેસ માસ્ક અને અન્ય કલાત્મક વસ્તુઓ બનાવી હતી. ૨૫મી ડિસેમ્બર હોવાથી ઘણા વિદ્યાર્થીઓ સાન્તા ક્લોઝના પોશાકમાં અને ક્રિસમસ કેપ પહેરીને આવ્યા હતા. શાળા દ્વારા કાર્ટૂન કેરેક્ટર્સ (મૅસ્કોટ્સ) અને જોકરની પણ વ્યવસ્થા કરાઈ હતી, જેમની સાથે બાળકોએ ફોટા પડાવ્યા હતા. ફોટોગ્રાફી માટે 'ફન ફેસ્ટિવલ' અને 'કાર્નિવલ' થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ પણ તૈયાર કરાયા હતા. આ 'ફન ફિયેસ્ટા' દરમિયાન શાળાનું વાતાવરણ આનંદમય બની ગયું હતું. વિદ્યાર્થીઓને ભણતરના દબાણ વગર રમવાની અને આનંદ કરવાની તક મળી હતી. શાળાના મેનેજમેન્ટ, આચાર્ય અને શિક્ષકગણના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં હિમાલયન નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન (HNAF) દ્વારા આયોજિત 34મા ઓલ ઈન્ડિયા નેચર સ્ટડી કમ એડવેન્ચર કેમ્પમાં ગુજરાતમાંથી એકમાત્ર નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પ 18 થી 23 ડિસેમ્બર દરમિયાન કાલીમ્પોંગ જિલ્લાના સામસિંગ ખાતે યોજાયો હતો. નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મનોદિવ્યાંગ સંસ્થાના પાંચ વિદ્યાર્થીઓ - દ્રષ્ટિ, તુલસી, પ્રણવ, પ્રીત અને જીનલ - આ શિબિરમાં જોડાયા હતા. તેમની સાથે સંસ્થાના સંચાલક શ્રી નિલેશ પંચાલ અને શિક્ષક શ્રી સંગીતા પંચાલ એસ્કોર્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ 34મા કેમ્પમાં કુલ 175 સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં 78 વિશેષ જરૂરિયાતોવાળા બાળકો (CWSN) કેમ્પર્સ, 40 એસ્કોર્ટ્સ, 32 કેમ્પ ગાઇડ્સ અને 25 અધિકારીઓ તથા સ્વયંસેવકોનો સમાવેશ થતો હતો. આ સહભાગીઓ રાજસ્થાન, ગુજરાત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને ઉત્તર બંગાળના ત્રણ જિલ્લાની સ્થાનિક સંસ્થાઓમાંથી આવ્યા હતા. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોને વન ઇકોસિસ્ટમ, નદીઓ, પર્વતો અને સ્થાનિક સમુદાયોમાં પ્રકૃતિ અને સાહસનો અનુભવ કરાવીને સર્વસમાવેશક પ્રકૃતિ શિક્ષણ પૂરું પાડવાનો હતો. પાંચ દિવસીય આ શિબિરમાં પ્રકૃતિ પાથ, પક્ષી નિરીક્ષણ, રમતો, નિષ્ણાત વાતો અને સંરક્ષણ કાર્યો જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓમાં આત્મવિશ્વાસ, પર્યાવરણીય જાગૃતિ અને સામાજિક જવાબદારી કેળવાય છે. સહભાગીઓને વન સંરક્ષણ, માનવ-વન્યજીવન સંવાદિતા, આબોહવા પરિવર્તન અને ટકાઉપણું જેવા વિષયોની ઊંડી સમજણ મળી, જે વર્ગખંડો દ્વારા મેળવી શકાતી નથી. આ કાર્યક્રમો ઇકો-સભાન નાગરિકોનું નિર્માણ કરીને હિમાલયના સંરક્ષણને મજબૂત બનાવે છે.
પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે રાજ્યસ્તરીય સ્પર્ધા:જૂનાગઢમાં 27-28 ડિસેમ્બરે, 20મા સ્થાપના દિવસની ઉજવણી
જૂનાગઢ ખાતે આગામી 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ઉપક્રમે, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ અંધ કન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ લોઢીયા વાડી ખાતે યોજાશે. આ પ્રસંગ અંધ કન્યા છાત્રાલયના ૨૦માં સ્થાપના દિવસ અને લુઈ બ્રેઈલની ઉજવણી નિમિત્તે યોજાઈ રહ્યો છે. આ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો છે. તેમાં સાડી પરિધાન સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા, પ્રાચીન ભજન સ્પર્ધા, એન્ડ્રોઈડ મોબાઈલ સ્પર્ધા, બ્રેઈલ લેખન સ્પર્ધા અને ગીતાજી શ્લોક પઠન જેવી વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી મોડી રાત્રી સુધી ચાલશે. આ રાજ્યસ્તરીય સ્પર્ધામાં ગુજરાતભરની 20 જેટલી સંસ્થાઓ અને વ્યક્તિગત 250 જેટલી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ ભાગ લેશે. આ દીકરીઓ તેમની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.આ સમારંભનું ઉદ્ઘાટન ડોલરભાઈ કોટેચા, ભાવિનભાઈ છત્રાળા, પ્રવિણાબેન ગિરીશભાઈ ચોકસી, કિરીટભાઈ રાણીગા અને ધવલભાઈ રમેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોસીયા, ગૌરવભાઈ રૂપારેલીયા, જવાહરભાઈ ચાવડા અને કોઠારી ધર્મકિશોર સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન સાગરભાઈ કોટેચા, અંધકન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને લોઢીયા વાડી, જયશ્રી ટોકીઝ ફાટક પાસે, જૂનાગઢ ખાતે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શાંતિ એશિયાટિક સ્કૂલ, શેલા ખાતે ક્રિસમસ સેલિબ્રેશન અને બેગલેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન, બાળકોએ સાન્ટા ફેસ આર્ટવર્ક જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે, 'ઉત્સવ' નામનું એક વિશેષ સેશન યોજાયું હતું. આ સેશનમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સહયોગ આપ્યો હતો.'ઉત્સવ' સેશનમાં વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મળીને હોળી, દિવાળી, ગુરુપુરબ, દુર્ગા પૂજા અને નાતાલ જેવા વિવિધ તહેવારો પર ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન, ચર્ચાઓ અને પ્રવૃત્તિઓ કરી હતી. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારોના મહત્વને સમજવામાં મદદ કરવાનો હતો. બેગલેસ ડેની પ્રવૃત્તિઓ પણ શિક્ષણ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે હતી.
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થી સ્વપ્નિલ સુભાષે CLAT 2026 ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેણે ગુજરાતમાં ત્રીજો રેન્ક અને ઓલ ઈન્ડિયામાં 185મો રેન્ક મેળવ્યો છે. પોતાની સફળતા વિશે વાત કરતા સ્વપ્નિલે જણાવ્યું કે, આ સફર માત્ર પરીક્ષા પૂરતી સીમિત નહોતી, પરંતુ દ્રઢતા, શિસ્ત અને મારા લક્ષ્યોમાં વિશ્વાસની હતી. તેણે ઉમેર્યું કે તેની તૈયારી દરમિયાન, તેની શાળાએ તેને શૈક્ષણિક અને ભાવનાત્મક રીતે ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાંતિ એશિયાટિક સ્કૂલના શિક્ષકો અને માર્ગદર્શકોએ તેને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું અને જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપ્યું. શાળા દ્વારા બનાવવામાં આવેલા સકારાત્મક શિક્ષણ વાતાવરણે તેને ધ્યાન કેન્દ્રિત અને પ્રેરિત રહેવામાં મદદ કરી. સ્વપ્નિલે તેની શાળા અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કર્યો.
સુરતમાં અડાજણ સ્થિત મધૂવન સર્કલ નજીક પતરાનાં શેડમાં આગ લાગવાની ઘટનાને કારણે ભાગદોડ મચી ગઈ હતી. પતરાનાં શેડમાં બનાવેલી દુકાનમાં ગાદલા બનાવવાનુ કામકાજ ચાલી રહ્યું હતું. રૂ હોવાને કારણે આગ જલ્દીથી પકડાઈ ગઈ હતી.દરમિયાન ફાયર કંટ્રોલને તેની જાણ કરવામાં આવતા અડાજણ અને પાલનપુર ફાયર સ્ટેશનોની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કવાયતમાં લાગી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ બોલવાનો પ્રયાસ કરનાર ગાડલાની દુકાનના માલિક ને હાથ પર આગની જ્વાળાઓ લાગી જતા સામાન્ય ઈજા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે, અડાજણ મધૂવન સર્કલ પાસે અલગ અલગ પતરાનાં શેડો આવેલાં છે.જેમાં ગાદલાનાં દુકાનના શેડમાં આગ લાગી હતી.શેડમાં મોટા પ્રમાણમાં રૂનો જથ્થો અને ગાદલાં હોવાને કારણે આગ ખુબજ ઝડપભેર પ્રસરવા લાગી ગઈ હતી.શેડનાં માલિકે તુરંત જ ફાયર કંટ્રોલને તેની જાણ કરી હતી તેથી અડાજણ અને પાલનપુર ફાયર સ્ટેશનોમાથી ફાયર ફાઈટરોનો કાફલો સ્થળ ઉપર રવાના કરી દેવામાં આવ્યો હતો. ફાયર સબ ઓફિસર સંપત સુથારનાં જણાવ્યાં મુજબ જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં ચારથી પાંચ જેટલાં શેડ હતાં.બીજા નંબરનાં શેડમાં આવેલા ગેરેજમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી.દરમિયાન અડાજણની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તુરંત જ પાણીનો મારો ચલાવવાનુ શરૂ કરી દીધુ હતુ દરમિયાન બાજુમાં આવેલાં જુતા ચપ્પલનાં શેડમાં પણ આગ પ્રસરવા લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની સમયસુચકતાને લીધે બીજા શેડમાં આગ લાગતા અટકાવી લેવામાં આવી હતી તેથી તેમાં નુકશાન થતા રહી ગયું હતુ.ગાદલા બનાવવાનાં શેડમાં રૂનો જથ્થો,ગાદલા તથા તેની મશીનરીને નુકશાન થયું હતું.અને બાજુનાં શેડમાં આગ ફેલાંતા થોડુ ઘણું નુકશાન થયું હતુ. કલાકોની જેમ જ બાદ આંખ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગ લાગવાનુ કોઈ ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યુ ન હતું. આગની ઘટનામાં આગ ઓલવવાનો પ્રયાસ કરનાર ગાડલાની દુકાનના માલિકની હાથ પર આગની જ્વાળાઓ લાગી જતા સામાન્ય ઇજા થઈ હતી.
ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના સ્થાપક, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ અને અન્ય સંગઠનના કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અટલજીએ ભાજપની સ્થાપના કરીને ભારતીય રાજકારણને રાષ્ટ્રીય હિત અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપતો રાજકીય વિકલ્પ પૂરો પાડ્યો હતો.તેમના નેતૃત્વ હેઠળની NDA સરકારે ભારતને પરમાણુ શક્તિ બનાવ્યું અને સુશાસનનો અનુભવ કરાવ્યો. તેમણે વારસા અને વિજ્ઞાનને એકસાથે પ્રોત્સાહન આપતું શાસન મોડેલ રજૂ કર્યું.અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણમાં જાહેર સેવા અને સંગઠનાત્મક શક્તિના પ્રતીક તરીકે હંમેશા યાદ રહેશે.
એન્કરવાલા અહિંસાધામ દ્વારા પશુ-પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા અને જળરક્ષાના ઉદ્દેશ્ય સાથે જીવદયાપ્રેમીઓ માટે બે દિવસીય મેગા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ૧૦ જાન્યુઆરી, શનિવારથી ૧૧ જાન્યુઆરી, રવિવાર સુધી મુંદ્રા-કચ્છના પ્રાગપર રોડ જંકશન સ્થિત એન્કરવાલા અહિંસાધામ સંકુલ ખાતે યોજાશે. આ મેગા સંમેલનનો મુખ્ય વિષય અહિંસા અને જીવદયા છે. પશુ-પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જળરક્ષા સંમેલનનું સૂત્ર સંચાલન લેખક, સંચાલક અને કવિ અમૃત નિસર (આધોઈ) દ્વારા કરવામાં આવશે. બે દિવસીય આ કાર્યક્રમના સૌજન્યદાતાઓમાં મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ (રામદેવ ગ્રુપ, વિલેપાર્લા-ટોડા), રીટાબેન હરેશભાઈ વોરા (ભાનુ પ્રોપર્ટીઝ, બોરીવલી-ગેલડા), શ્રીમતી દિપ્તીબેન રૂપેશભાઈ સંગોઈ (ઝીલ ઈન્ફોટેક, કાંદિવલી-કપાયા) અને એક સદગૃહસ્થનો સમાવેશ થાય છે. સંમેલનના પ્રથમ દિવસે, શનિવાર, 10 જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે 9:30 કલાકે અહિંસાધામ સંકુલમાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને ડૉ. સુરદાસ પ્રભુ (પ્રમુખ, ઇસ્કોન ઇન્ડિયા, મુંબઈ)ના આશીર્વચન સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. બપોરે 3 કલાકે નંદી સરોવરના પાણી અને ઘાસના કાર્યનું નિરીક્ષણ તેમજ પશુ-પક્ષી અને પર્યાવરણ નિહાળવા માટે મંગલ ફેરીનું આયોજન કરાયું છે. આ સમારંભમાં પ્રમુખ તરીકે અનિલભાઈ શશીકાંત જૈન (દિગંબર સમાજ, વિલેપાર્લા) ઉપસ્થિત રહેશે. વક્તા તરીકે ડૉ. ભૂમિકા જૈમીન દોશી (CSR પ્રોફેશનલ અને આસિસ્ટન્ટ પ્રોફેસર, માંડવી) પોતાનું વક્તવ્ય આપશે. અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ જૈનેન્દ્ર જૈન (MD, કામધેનુ નેનોટેક પ્રા. લિ., મલાડ), પ્રતિકભાઈ સાંગવે (ડિરેક્ટર, કામધેનુ નેનોટેક પ્રા. લિ., મલાડ), પ્રેમચંદભાઈ જૈન (પ્રેસિડેન્ટ, દયોદય મહાસંઘ, ભોપાલ), બી.એસ. રાવ (ડિરેક્ટર, આઈમા વોટર સોલ્યુશન્સ પ્રા. લિ., અમદાવાદ) અને રાકેશ પંચાલ (ડિરેક્ટર, આઈમા વોટર સોલ્યુશન્સ પ્રા. લિ., અમદાવાદ) સહિતના મહાનુભાવો હાજર રહેશે. સંમેલનના બીજા દિવસે, રવિવાર, 11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 9:30 કલાકે અહિંસાધામ સંકુલમાં રાષ્ટ્રીય સંત આચાર્ય મુનિશ્રી લોકપ્રકાશ લોકેશ (દિલ્હી)ના આશીર્વચન સાથે કાર્યક્રમનો શુભારંભ થશે. આ સમારંભના પ્રમુખ પ્રવિણભાઈ જૈન (પ્રમુખ, ચિંતામણી દેરાસર, વિલેપાર્લા) રહેશે. નીરજ કાંતિલાલ પુરોહિત (ગૌપાલક, ઘાટકોપર) અને ડૉ. પ્રતિભા આઠવલે (અમદાવાદ) પર્યાવરણ વિષય પર પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અનિરુદ્ધભાઈ દવે, જીગરભાઈ તારાચંદભાઈ છેડા (પ્રમુખ, શ્રી ક.વી.ઓ. જૈન મહાજન, ભુજ), સારીકા જૈન (CA, મોટિવેશનલ સ્પીકર), વિરાગ શાહ, જશ નીતા પ્રફુલ વીરા, સુભાષચંદ્ર ગોયલ, કુંવરજી દેવજી નારદાણી (કેરા-મોમ્બાસા/આફ્રિકા), શ્રીમતી માધવીબેન હેમલભાઈ શાહ (ભાવના રોડવેઝ, સુરેન્દ્રનગર), જયંતીલાલ જીવરાજ ગાલા (જીવદયાપ્રેમી, માટુંગા-ગાગોદર), કમલેશભાઈ પરીખ કમલ, નરેન્દ્રભાઈ પોપટલાલ કારિયા (તાશ્કદ ગ્રુપ, વિલેપાર્લા-લાકડીયા) અને શ્રીમતી ખ્યાતિબેન શર્મા (જીવદયાપ્રેમી, ગાંધીધામ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ગાંધીનગરના સેક્ટર-13માં આવેલી નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક મૂલ્યો, સંસ્કાર અને સકારાત્મક વિચારોનો વિકાસ થાય તે આ યજ્ઞનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યજ્ઞ દરમિયાન ગાયત્રી મંત્રોચ્ચાર સાથે વૈદિક વિધિ મુજબ હવન કરવામાં આવ્યો હતો. શાંતિ, સદભાવના અને સર્વજન કલ્યાણ માટે પ્રાર્થના કરાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગાયત્રી મંત્રનું મહત્વ તેમજ યજ્ઞનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય યોગેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમને સારા સંસ્કારોથી સમૃદ્ધ બનાવે છે. કાર્યક્રમના અંતે શાંતિપાઠ અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.
મારવાડી યુનિવર્સિટીએ AI સ્નેક રોબોટ વિકસાવ્યો:ભૂકંપ બચાવ કામગીરીમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધશે
મારવાડી યુનિવર્સિટીના સંશોધકોએ ભૂકંપ અને અન્ય આપત્તિઓમાં બચાવ કામગીરી માટે AI આધારિત સર્પાકાર (સ્નેક) રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટ ખાસ કરીને ઇમારતો ધરાશાયી થવા કે રાસાયણિક દુર્ઘટનાઓ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં કાટમાળ નીચે દટાયેલા જીવિત અથવા મૃત લોકોને શોધવામાં મદદરૂપ થશે. આ સ્નેક રોબોટનું શરીર સાપ જેવી લચીલાશ ધરાવે છે, જેના કારણે તે સંકુચિત જગ્યાઓ, તૂટેલા કૉન્ક્રિટના ઢગલાં અને અનિયમિત માળખાંમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. રોબોટ સાથે જોડાયેલ હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને અન્ય સેન્સર ગ્રાઉન્ડ કંટ્રોલ સેન્ટરને લાઇવ વિડિયો ફીડ મોકલે છે, જેના આધારે બચાવ ટીમ તાત્કાલિક નિર્ણય લઈ શકે છે. રોબોટમાં ઉપયોગમાં લેવાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિડિયો ફીડમાં નરી આંખે સ્પષ્ટ ન દેખાતા માનવ અંગો, હલનચલન અથવા શરીરના સંકેતોને પણ ઓળખી શકે છે. આનાથી બચાવ કામગીરી વધુ ઝડપી, ચોક્કસ અને સુરક્ષિત બનશે, જે આપત્તિના સમયમાં જીવ બચાવવાની સંભાવનામાં નોંધપાત્ર વધારો કરશે. આ સંશોધન અંગે પ્રોજેક્ટના ઇન્વેસ્ટિગેટર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂકંપ જેવી આપત્તિમાં દટાયેલા લોકો માટે દરેક સેકન્ડ અમૂલ્ય હોય છે. ઘણી વખત UAV અથવા ડ્રોન ટેક્નોલોજી આવી પરિસ્થિતિઓમાં અસરકારક સાબિત થતી નથી. 2001ના ભૂકંપ જેવી હોનારતોને ધ્યાનમાં રાખીને, દેશને એવી સ્વદેશી ટેક્નોલોજીની જરૂર છે જે સીધી રીતે બચાવ ટીમ અને પીડિતોની મદદ કરી શકે. તેમણે ઉમેર્યું કે તાજેતરની AI ક્રાંતિ આ ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ વિચાર સાથે વિકસાવાયેલ સર્પાકાર રોબોટ 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે. આ રોબોટ વિવિધ પ્રકારના કેમેરા અને સેન્સર સાથે કાર્ય કરી શકે છે, જેના દ્વારા જીવિત તથા મૃત વ્યક્તિ વિશેની માહિતી તરત પ્રાપ્ત થઈ શકે છે. આ સંશોધન પ્રોજેક્ટમાં મારવાડી યુનિવર્સિટીના સહ-પ્રાધ્યાપકો ડો. તપનકુમાર ત્રિવેદી અને અક્ષય રાણપરીયા પણ સંકળાયેલા છે. આ અભ્યાસને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત જર્નલ Scientific Reports (Nature Publishing Group) માં પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે આ સંશોધનની વૈશ્વિક મહત્વતા દર્શાવે છે. આ સંશોધન કાર્ય ગુજરાત સરકારની Gujarat Council on Science and Technology (GUJCOST) દ્વારા સંચાલિત Science Technology Innovation Scheme હેઠળ સહાય પ્રાપ્ત કરીને કરવામાં આવ્યું છે.આ AI આધારિત સ્નેક રોબોટ ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતને સ્વદેશી અને અદ્યતન ટેક્નોલોજી સાથે વધુ સશક્ત બનાવશે અને અનેક અમૂલ્ય જીવ બચાવવામાં મદદરૂપ બનશે.
રતુભાઈ અદાણી શાળામાં વીર બાળ દિવસની ઉજવણી:ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબઝાદાઓને શ્રદ્ધાંજલિ અપાઈ
રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા ક્રમાંક 295 માં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતના ઇતિહાસમાં શિખ ધર્મના 10મા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના સર્વોચ્ચ બલિદાનની યાદમાં દર વર્ષે 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, હિંમત અને સાહસના ગુણો કેળવાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા પ્રાર્થનાથી થઈ હતી. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ગુરુ ગોવિંદ સિંહજીના ચારેય સાહિબઝાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના વરિષ્ઠ શિક્ષક જીતુભાઈએ સાહિબઝાદા જોરાવર સિંહ અને ફતેહ સિંહના ઇતિહાસ અને તેમના બલિદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે નાની વયે પણ તેમણે ધર્મ અને સત્ય માટે દીવાલમાં ચણાઈ જવાનું પસંદ કર્યું, પણ ઝૂકવાનું સ્વીકાર્યું નહીં. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ 'વીર સાહિબઝાદા' વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય આપ્યા હતા. આ ઉપરાંત, દેશભક્તિના વિષય પર ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને ભારતીય વીર સંતાનોના ગૌરવશાળી ઇતિહાસથી માહિતગાર કરવાનો અને તેમનામાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું. આચાર્યએ પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સાહિબઝાદાઓના જીવનમાંથી પ્રેરણા લઈ દેશહિત માટે કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર પવિત્ર ધનુર્માસ નિમિત્તે શુક્રવાર, 26 ડિસેમ્બર 2025 ના રોજ કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન થયું હતું. દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા ફૂલની ડિઝાઈનના આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. મંદિરના સિંહાસનને ગલગોટા અને ગુલાબના મિશ્ર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. પવિત્ર ધનુર્માસ (16 ડિસેમ્બર 2025 થી 14 જાન્યુઆરી 2026) દરમિયાન વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિ માટે વિશેષ જાપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યજ્ઞમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ અને ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા મંત્રનો જાપ કરવામાં આવે છે. આ જાપ દરરોજ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન કરવામાં આવે છે. આ દિવ્ય દર્શન અને જાપ યજ્ઞનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ લઈ ધન્યતા અનુભવી હતી.
સરસ્વતી શિશુમંદિર, પાટણ ખાતે તાજેતરમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાભારતી ગુજરાતપ્રદેશ સંલગ્ન અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત આ વિદ્યાસંકુલમાં ૨૫ ડિસેમ્બરના રોજ નાતાલને બદલે ભારતીય સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરવા તુલસી પૂજન અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ અને તુલસી માતાનું મહત્વ સમજાવવાનો હતો. હિન્દુ પરંપરા અનુસાર, તુલસીને એક પવિત્ર છોડ અને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુના પત્ની છે. તુલસી દિવસની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી, જેનો ઉદ્દેશ્ય ૨૫ ડિસેમ્બરને 'ક્રિસમસ'ને બદલે 'તુલસી દિવસ' તરીકે ઓળખાવવાનો છે. શિશુવાટિકાથી ધોરણ ૨ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાલયના નાના ભૂલકાઓ દ્વારા તુલસી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં બાળકોએ ઘર ઘર તુલસી, હર કર તુલસી, તુલસી વાવો, રોગ ભગાવો જેવા નારા લગાવ્યા હતા, જેનો હેતુ સમાજમાં તુલસીનું મહત્વ અને હિન્દુ સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવાનો હતો. શોભાયાત્રાનું સ્વાગત વિદ્યાલયના અન્ય નાના વિદ્યાર્થીઓએ કર્યું હતું. યાત્રામાં લાવવામાં આવેલા નાના તુલસીના છોડની પૂજા કરવામાં આવી હતી. બાળકોને તુલસી માતાનું મહત્વ, તેમની વાર્તાઓ અને મંત્રોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. વિદ્યાલયમાં તુલસીના છોડનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૨ના વિદ્યાર્થીઓએ પ્રભાતફેરી યોજી ભગવાન રામના મંદિરે દર્શન કર્યા હતા. ત્યાં પણ તુલસી પૂજન કરવામાં આવ્યું અને તુલસીના છોડ રોપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શિશુવાટિકાથી ધોરણ બેના તમામ બાળકો, વિદ્યાલય ટ્રસ્ટના મંત્રી રાકેશભાઈ સોની, માનનીય અલકેશભાઈ પારેખ, વિદ્યાલયના પ્રધાનાચાર્ય અને અન્ય આચાર્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને ભક્તિમય બનાવ્યો હતો.
નરોડા સ્થિત એ-વન ઝેવિયર્સ સ્કૂલમાં ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ખેડૂતોના મહત્વ અને દેશના વિકાસમાં તેમના અવિસ્મરણીય યોગદાન અંગે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરી હતી, જેમાં મોનો એક્ટિંગ, કવિતાપાઠ, ખેડૂત વેશભૂષા અને દેશભક્તિ તેમજ ખેડૂત આધારિત ગીતોનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ખેડૂતોના પરિશ્રમ, સંઘર્ષ અને જીવનમૂલ્યોને અસરકારક રીતે પ્રસ્તુત કર્યા. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ખેડૂતો પ્રત્યે સન્માન તથા આદરભાવ વિકસાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં કૃતજ્ઞતા અને સામાજિક જવાબદારીના મૂલ્યો વિકસ્યા. શાળા વ્યવસ્થાપન દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આ પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
AMCના સીટી એન્જિ. હરપાલસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું:ત્રણ અધિકારીઓને પ્રમોશન આપી નવા HOD ભરતી કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવનારા શહેરના સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલાનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે. હરપાલસિંહ ઝાલા દ્વારા અંગત કારણોસર રાજીનામું આપવામાં આવ્યું છે. જેને આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જોકે આગામી 15 ફેબ્રુઆરી 2026 સુધી નોટિસ પિરિયડ પર રહેશે. સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલા શહેરના મુખ્ય સીટી ઇજનેર છે અગાઉ તેઓ વોટર પ્રોજેક્ટ વિભાગના સીટી ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તાજેતરમાં તેઓ બ્રિજ અને રોડ પ્રોજેક્ટના પણ હવાલો સંભાળતા હતા. HOD તરીકે ત્રણ અધિકારીઓને બઢતીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ખાતાના વડા તરીકે ત્રણ નવી જગ્યા ઉભી કરવામાં આવી હતી. જેમાં બઢતીથી બે જગ્યા ભરવાની હતી જેમાં હાલમાં ડેપ્યુટી એચઓડી તરીકે ફરજ બજાવતા જવલીન હાલાણી અને દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ચિરાગ પંચાલને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (HOD) તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી HOD તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર પરમારની નિવૃત્તિ અને ખાલી પડેલી જગ્યાએ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવનારા વ્યાસને પ્રમોશન આપીને ડેપ્યુટી એચઓડી તરીકે નિમણૂક આપવામાં આવી છે.
તુલસી પૂજન કાર્યક્રમ:નરોડાની A ONE XAVIER'S SCHOOLમાં કરાયું આયોજન
નરોડા સ્થિત A ONE XAVIER'S SCHOOL માં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓ પ્રત્યે આદરની ભાવના વિકસાવવા માટે તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાભાવપૂર્વક તુલસી માતાનું પૂજન કરી પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને તુલસીના ધાર્મિક, વૈજ્ઞાનિક અને પર્યાવરણીય મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે પૂજનવિધિમાં ભાગ લીધો અને સકારાત્મક સંસ્કારોને આત્મસાત કર્યા હતા. શાળા સંચાલન આવા સંસ્કારસભર કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.
અમરાઈવાડી વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર પ્રાથમિક શાળા અને સનફ્લાવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સામાજિક આગેવાનો મુકેશભાઈ ખટીક, શૈલેન્દ્રસિંહ ચૌહાણ અને કિરણભાઈ વણઝારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વીર બાળ દિવસના મહત્વ વિશે વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી.વિદ્યામંદિર પ્રાથમિક શાળાના આચાર્ય આર. ડી. દરજીએ ગુરુ ગોવિંદસિંહ અને તેમના પુત્રોના બલિદાનને યાદ કરીને મહાપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે શાળામાં ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકા ઝરણાબેન દરજીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાહી ફાઉન્ડેશન, દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ અને ગણતર સંસ્થાના સહયોગથી કચ્છના નાના રણમાં મીઠું પકવતા 250 અગરિયા પરિવારોના 1000 સભ્યોને મદદ કરવામાં આવી છે. આ સંસ્થાઓ દ્વારા તેમને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. વિતરણ કરાયેલી વસ્તુઓમાં રાશન કીટ, ગરમ સુતરાઉ કપડાં, રમકડાં, વેસેલિન અને નાસ્તો શામેલ છે. આ સહાય અગરિયા પરિવારોને પ્રતિકૂળ પરિસ્થિતિમાં રાહત આપવા માટે કરવામાં આવી છે.મીઠું પકવતા આ શ્રમજીવીઓ આજે પણ સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે. પ્રતિકૂળ વાતાવરણમાં કામ કરવા છતાં તેમને ખૂબ ઓછું વળતર મળે છે. કમોસમી વરસાદે તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી છે. તેઓ આર્થિક, સામાજિક અને આરોગ્યના પ્રશ્નોથી પીડિત છે અને સુવિધાઓનો અભાવ અનુભવે છે.આ વિતરણ કાર્યક્રમમાં નિતિનભાઈ પારેખ (ગ્રેટ વેવ્સ ટ્રસ્ટ), કિરીટભાઇ શાહ, નવનીતદાદા, પરેશભાઈ દાણી, ભરતભાઇ શાહ, ગૌરીબેન શ્રોફ, રમણલાલ પટેલ અને ભદ્રેશભાઈ પટેલ સહિતના દાતાઓએ સહયોગ આપ્યો હતો.ગણતર સંસ્થાના સુખદેવભાઈ પટેલે માર્ગદર્શન અને વ્યવસ્થા પૂરી પાડી હતી. સમગ્ર વિતરણ કાર્યક્રમના સંકલનકર્તા અને લાભાર્થીઓની વ્યવસ્થા માટે દર્શક ગ્રામીણ વિકાસ સંસ્થાના જયેશભાઇ રાવલ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન દ્વારા જયેશ પરીખના નેતૃત્વમાં નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, સ્નેહા શાહ, શરદ જાદવ, નૈલેષ પરીખ, વિજય દલાલ, સ્વપનિલ અને સૌમ્ય દલાલ સહિતની ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હારીજની સરકારી કૉલેજમાં વીર બાલ દિવસની ઉજવણી:ગુરુ ગોબિંદ સિંહજીના સાહેબઝાદાઓના બલિદાનને યાદ કરાયું
સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, હારીજ ખાતે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહીદ વીર બાલકોના બલિદાનને યાદ કરી યુવા પેઢીમાં દેશભક્તિ, સાહસ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના સાથે થયો હતો. વક્તવ્યમાં વક્તાઓએ ગુરુ ગોબિંદ સિંહજીના સાહેબઝાદાઓના અદ્વિતીય શૌર્ય, બલિદાન અને ધર્મનિષ્ઠા પર પ્રકાશ પાડ્યો હતો. વિદ્યાર્થીઓને વીડિયો દ્વારા વીર બાલ દિવસની કથા પણ દર્શાવવામાં આવી હતી. કૉલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. NSS પ્રોગ્રામ ઓફિસરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વીર બાલ દિવસ યુવાનોને સત્ય, સાહસ અને ન્યાયના માર્ગે આગળ વધવા પ્રેરણા આપે છે. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કૉલેજના પ્રાધ્યાપકો, NSS સ્વયંસેવકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. નરેન્દ્ર રાવલ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીત સાથે તેનું સમાપન થયું હતું.
ડીંડોલી સ્થિત માતૃભૂમિ વિદ્યાલયમાં 24 ડિસેમ્બર, 2025, બુધવારના રોજ તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળભવનથી ધોરણ 2ના વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જેથી તેઓ પાશ્ચાત્ય સંસ્કૃતિને બદલે પોતાની સંસ્કૃતિનું મહત્વ સમજી શકે. 'આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર' વિષય અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં બાળભવનથી ધોરણ 2ના બાળકો ભગવાન, સંતો કે ઋષિમુનિઓના વેશમાં શાળાએ આવ્યા હતા.બાળકોએ પોતાના પાત્ર વિશે ટૂંકી સ્પીચ પણ આપી હતી. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને તુલસી પૂજનનું મહત્વ સમજાવ્યું હતું.
મોડાસા એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ (સેટેલાઈટ – વસ્ત્રાપુર – આંબાવાડી) દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બે દિવસીય ટુરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ મંડળ દ્વારા પ્રથમવાર યોજાયો હતો. આ પ્રવાસમાં મંડળના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે પિકનિકને ભવ્ય સફળતા મળી હતી. સભ્યોએ આ પ્રવાસનો ભરપૂર આનંદ માણ્યો હતો.આ યાદગાર પિકનિકના સફળ આયોજન બદલ પ્રોજેક્ટ લીડર જીગર શાહ અને મંડળના તમામ સભ્યોનો પ્રમુખ શ્રી પ્રશાંત મહેતાએ આભાર વ્યક્ત કર્યો હતો.
નરોડા સ્થિત A ONE XAVIER'S SCHOOL માં 24 ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ માટે ગ્રાહક અધિકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નાટક, પોસ્ટર અને પ્લકાર્ડ દ્વારા ગ્રાહક અધિકારોનું પ્રદર્શન કર્યું. તેમણે પસંદગીનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, નિવારણ મેળવવાનો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર, જાણકારી મેળવવાનો અધિકાર અને સાંભળવાનો અધિકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. નાટક દ્વારા દૈનિક જીવનમાં ગ્રાહકોને થતી સમસ્યાઓ અને તેમના અધિકારોને સરળતાથી સમજાવવામાં આવ્યા. આ પ્રસ્તુતિથી દર્શકોને ગ્રાહક અધિકારો વિશે સ્પષ્ટ સમજ મળી.શાળા વ્યવસ્થાપન અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના પ્રદર્શનની પ્રશંસા કરી. તેમણે ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને જાગૃતિસભર કાર્યક્રમો યોજવાની ખાતરી આપી.
રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે પાટણની શેઠ એમ. એન. હાઇસ્કુલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કુલ અને જાગૃત ગ્રાહક મંડળ – પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગ્રાહક સુરક્ષા, અધિકારો અને ફરજો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો વિભાગ, નવી દિલ્હી દ્વારા આ વર્ષ માટે ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ થીમ નક્કી કરવામાં આવી હતી. આ થીમને કેન્દ્રમાં રાખીને નિષ્ણાત વક્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગ્રાહક સુરક્ષા સંસ્થા – જાગૃત ગ્રાહક મંડળ, પાટણના પ્રતિનિધિ અને સહાયક પ્રોફેસર ડૉ. રોનક મોદી, ભગિની સમાજના મંત્રી અને નિવૃત્ત પ્રોફેસર ડૉ. લીલાબેન સ્વામી તેમજ શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. રોનક મોદીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, આજના ડિજિટલ યુગમાં ગ્રાહકો ઑનલાઇન માધ્યમોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સરકારે ફરિયાદ નોંધણી અને નિવારણ માટે ઈ-દાખિલ પોર્ટલ, ઑનલાઇન ફરિયાદ વ્યવસ્થા, ઈ-જાગૃતિ અને વોટ્સએપ આધારિત સેવાઓ વિકસાવી છે. આનાથી ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિરાકરણ શક્ય બન્યું છે. તેમણે ઈ-દાખિલ પોર્ટલ દ્વારા ડિજિટલ ફરિયાદ નોંધણી, વર્ચ્યુઅલ હિયરિંગ અને ન્યાયપ્રાપ્તિના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૨૦૧૯ હેઠળ ઈ-કોમર્સ અને ડિજિટલ વ્યવહારો સંબંધિત ગ્રાહક અધિકારો વિશે પણ માહિતી આપી. ડૉ. મોદીએ સોનાના આભૂષણોની ખરીદી કરતી વખતે BIS હોલમાર્ક સાથે 6 અંકનો HUID નંબર ચકાસવાની સલાહ આપી. તેમણે BIS Care એપ્લિકેશન દ્વારા HUID નંબર દાખલ કરીને સોનાની ગુણવત્તા કેવી રીતે ચકાસી શકાય તેની પ્રક્રિયા સમજાવી, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી હતી. ડૉ. લીલાબેન સ્વામીએ ડિજિટલ યુગમાં વધતી ઑનલાઇન છેતરપિંડી, સાયબર ગુનાઓ અને ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, જાગૃત ગ્રાહક જ છેતરપિંડી સામેનો શ્રેષ્ઠ બચાવ છે. તેમણે વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકારો, ફરજો, બજારમાં સતર્કતા અને જવાબદાર ગ્રાહક તરીકેની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, વક્તાઓ સાથે સંવાદ કર્યો અને તેમના પ્રશ્નોના જવાબો મેળવ્યા. ચિત્ર સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ ગ્રાહક જાગૃતિનો સંદેશ સર્જનાત્મક રીતે રજૂ કર્યો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય, શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારે આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો.
સુરતના રાંદેર ગોરાટ રોડ પર અદાવત રાખીને એક પૂર્વ કર્મચારીએ પોતાના જ શેઠ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાંદેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ગોરાટ રોડ પર આવેલી સંગીની એમ્પીરીયામાં રહેતા અને વેપાર કરતા 48 વર્ષીય મોહમદ હુસેન ઝાકીર હવાવાલાને ત્યાં થોડા સમય પહેલા આરોપી સુફિયાન શાહ નોકરી કરતો હતો. જોકે, કોઈ કારણોસર સુફિયાનને નોકરીમાંથી કાઢી મુકવામાં આવતા તેણે આ વાતનું મનદુઃખ રાખ્યું હતું. વેપારીને ફોન કરીને ગંદી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીનોકરીમાંથી છૂટા કરાયા બાદ સુફિયાન સતત ઉશ્કેરાયેલો રહેતો હતો અને વેપારી પ્રત્યે ખાર રાખતો હતો. તે અવારનવાર વેપારી મોહમદ હુસેનને ફોન કરીને ગંદી ગાળો આપતો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. આ સતત ચાલતી માનસિક સતામણી બાદ ગઈકાલે આરોપીએ વેપારી પર પ્રત્યક્ષ હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું અને વેપારીના નિવાસસ્થાને પહોંચી ગયો હતો. ચપ્પુ વડે વેપારી પર હુમલો કરી ફરાર થયો'તોજ્યારે વેપારી મોહમદ હુસેન તેમના બિલ્ડિંગના પાર્કિંગમાં હતા, ત્યારે સુફિયાન શાહે તેમને આંતરી લીધા હતા. બોલાચાલી અને ઝઘડો કર્યા બાદ આરોપીએ પોતાની પાસે રહેલા તિક્ષ્ણ ચપ્પુ વડે વેપારી પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. આરોપી સુફિયાન શાહને પોલીસે પકડ્યોઆ બનાવ અંગે વેપારીએ તુરંત રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગત રાત્રે જ હુમલો કરનાર આરોપી સુફિયાન શાહની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ હુમલા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ.
અદભુત સ્વામીએ વિશ્વાસઘાતને સૌથી મોટું પાપ ગણાવ્યું:પાટણ SMVS મંદિરમાં ધનુર માસ કથામાં ઉપદેશ
SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે ધનુર માસ નિમિત્તે આયોજિત કથા વાર્તા સભામાં અદભુત સ્વામીએ ઉપદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનમાં ક્યારેય કોઈનો વિશ્વાસઘાત ન કરવો, કારણ કે વિશ્વાસઘાત જેવું મોટું કોઈ પાપ નથી. સ્વામીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે નીતિમત્તામાં ભગવાનનો વાસ હોય છે, તેથી હંમેશા નીતિમય રીતે જીવન જીવવું જોઈએ. જો વ્યક્તિ અનીતિના માર્ગે ચાલે તો દુઃખી થાય છે અને ભગવાનની પરીક્ષામાં નાપાસ થાય છે, જેના પરિણામે દુઃખ દોડતું આવે છે. તેમણે ઉમેર્યું કે જો કર્મ સારા નહીં હોય તો વહેલા કે મોડા તેનું ફળ ભોગવવું જ પડશે. તેથી, હંમેશા સારા કર્મ કરતા રહો અને કોઈનો વિશ્વાસઘાત ન કરો. કોઈની અંગત વાત બીજા કોઈને કહેવી તે પણ એક પ્રકારનો વિશ્વાસઘાત જ છે. અદભુત સ્વામીએ સત્કાર્ય કરવા, સારું વિચારવા, સારા કર્મ કરવા અને બને તો લોકોનું ભલું કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ક્યારેય કોઈનું ખોટું વિચારવું નહીં અને જીવનમાં સુખી થવું હોય તો કોઈનો વિશ્વાસઘાત કદી ન તોડવો. તેમણે સમજાવ્યું કે આપણે જ આપણને દુઃખી કરીએ છીએ, તેથી હંમેશા પ્રભુ ભક્તિમાં સારા કાર્યો કરતા રહેવાથી ભગવાન રાજી રહેશે. સ્વામી શ્રી તથા ગુરુવરીય બાપજીની પ્રેરણાથી દર બુધવારે SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે આ સભાનું આયોજન કરવામાં આવે છે, જેમાં કથા વાર્તાનો લાભ આપવામાં આવે છે. પાટણના હરિભક્તો અને સેવકોએ આ કથા વાર્તાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ 26 ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાયો હતો. ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રો, સાહિબજાદા જોરાવર સિંહજી (૯ વર્ષ) અને સાહિબજાદા ફતેહ સિંહજી (6વર્ષ), ના અદ્ભુત શૌર્ય, ધૈર્ય અને બલિદાનની યાદમાં સમર્પિત છે. વર્ષ 2022માં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીર બાળ દિવસ ની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આ ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણના પિયુષભાઈ દવેએ ગુરુ ગોવિંદસિંહના પુત્રોના વીર બલિદાન પર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે નગરપાલિકા પાટણના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી અને શ્રી બાબુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, લલિતકલા અકાદમી દ્વારા મૂકવામાં આવેલ પ્રદર્શન મહાનુભાવો અને બાળકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદ-ગાંધીનગરના સીમાડે આવેલા જાસપુર વિશ્વ ઉમિયાધામની મુલાકાતે પધારવાના છે. આ મુલાકાતને પગલે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગર કલેક્ટરની અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકદેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી રવિવાર 28 ડિસેમ્બરના રોજ જાસપુર ખાતે આવેલા ભવ્ય વિશ્વ ઉમિયાધામ સંકુલની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રીના આગમનને પગલે કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે દ્વારા આજે અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર મેહુલ દવેએ કાર્યક્રમની વ્યવસ્થા માટે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર નિશા શર્મા અને કલોલ પ્રાંત અધિકારી મયંક પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાર્કિંગ, પ્રોટોકોલ અને સ્ટેજ વ્યવસ્થા અંગે ગહન ચર્ચાકલેક્ટરે દરેક વિભાગને ફાળવવામાં આવેલા કામમાં શ્રેષ્ઠ યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને પાર્કિંગ, પ્રોટોકોલ અને સ્ટેજ વ્યવસ્થા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ ગૃહમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર પોલીસ દ્વારા અભેદ કિલ્લો તૈયાર કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા ASL રિહર્સલની તૈયારીઓ પણ શરૂરવિવારે કાર્યક્રમ સ્થળ અને તેની આસપાસના રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત પહેરો રહેશે. પોલીસ દ્વારા ASL રિહર્સલની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રીના રૂટ પર અને કાર્યક્રમ સ્થળ પર એન્ટી-સેબોટેજ ચેકિંગ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન નિરીક્ષણ કરવામાં આવશે. વિશ્વ ઉમિયાધામમાં ઉત્સાહનો માહોલ અમિત શાહની આ મુલાકાતને લઈને વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગૃહમંત્રીની મુલાકાત રાજકીય-સામાજિક રીતે મહત્વપૂર્ણપાટીદાર સમાજના આ આસ્થાના કેન્દ્ર પર ગૃહમંત્રીની મુલાકાત રાજકીય અને સામાજિક રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. રવિવારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ભક્તો પણ હાજર રહે તેવી શક્યતા છે.
SETJAએ મેન્યુફેક્ચરર્સ-ડીલર્સની બેઠક યોજી:ઉદ્યોગની એકતા અને પેમેન્ટ રિકવરી પર ચર્ચા
સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા 25 ડિસેમ્બર, 2025ના રોજ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેન્યુફેક્ચરર્સ અને ડીલર્સ એક મંચ પર આવ્યા હતા, જ્યાં ઉદ્યોગની એકતા મજબૂત કરવા અંગે ચર્ચા થઈ. આ બેઠક SETJAના પ્રમુખ તુષારભાઈ કુવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ઉપપ્રમુખ શ્રી નિકુંજભાઈ ભુવા, ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ બોરડા, મંત્રી શ્રી અર્જુનભાઈ ખોખરિયા અને સહ મંત્રી શ્રી ભાવેશભાઈ કવઠિયા સહિત મેનેજિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, થ્રેડ મેન્યુફેક્ચરર્સના એક થવાથી ડીલર્સનું સંગઠન વધુ મજબૂત બનશે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ. ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી પેમેન્ટ રિકવરીની સમસ્યા પર પણ ગંભીર વિચારણા કરવામાં આવી. ફ્રોડ કરતી પાર્ટીઓ સામે નવા કડક ધોરણો અમલમાં મૂકવા અને જરૂર પડ્યે તેમના નામ જાહેર કરવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો. આ ઉપરાંત, જરી ઉદ્યોગમાં GST રિફંડ સંબંધિત કાર્યવાહીને વધુ ઝડપી બનાવવાનો મહત્વપૂર્ણ સંકલ્પ લેવાયો. SETJA દ્વારા આ મુદ્દે અગાઉ કરવામાં આવેલી રજૂઆતોને વધુ અસરકારક બનાવીને હવે દિલ્હી સુધી સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી. SETJAએ સ્પષ્ટ કર્યું કે થ્રેડ અને જરી ઉદ્યોગના હિત માટે સંગઠન હંમેશા સક્રિય રહેશે અને ઉદ્યોગને લગતા દરેક મહત્વપૂર્ણ મુદ્દે સરકાર સમક્ષ મજબૂત અવાજ ઉઠાવશે.
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે 26મી ડિસેમ્બર, 2025ના રોજ 'વીર બાલ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશવર્ષના અવસરે, દસમા શીખ ગુરુના પુત્રો સાહેબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં સરકારના પરિપત્ર મુજબ યોજાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના પ્રગટે તે હેતુથી એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ પી. આનંદે મુખ્ય વક્તા તરીકે શીખ ધર્મના અનુયાયીઓના રાષ્ટ્ર માટેના વિશેષ બલિદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન, કૉલેજના ડૉ. અમર ચક્રબર્તીએ સાહેબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદત પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેણે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના ઇતિહાસના મદદનીશ પ્રાધ્યાપક જેવત એમ. ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ સંજયભાઈ જે. પટેલે આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા અરવલ્લી પર્વતમાળામાં થતા ખાણકામ અને વૃક્ષ કાપણી સામે અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો હતો. શહેરના નંબર ચોકડી ખાતે કાર્યકરોએ ચહેરા પર ઓક્સિજન માસ્ક પહેરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો. પ્રદર્શનકારીઓએ પ્રતિકાત્મક રીતે જણાવ્યું કે, આજે અરવલ્લી કાપાશે તો કાલે અમારા શ્વાસમાં ઓક્સિજન ઘટશે. આ વિરોધ રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાના 100 મીટર ઉપરના પર્વતને તોડી પાડવાના નિર્ણયના વિરોધમાં કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ સેવ અરવલ્લી, સેવ ફ્યુચર, અરવલ્લી બચાવો, ઓક્સિજન બચાવો અને પ્રકૃતિ નહિ બચે તો પ્રગતિ શું કામ? જેવા નારા લગાવ્યા હતા અને અરવલ્લી બચાવોના ગીતો ગાઈને વિરોધ નોંધાવ્યો હતો. યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત અને નજીકના રાજ્યોમાં ધૂળ પ્રદૂષણ, ગરમીમાં વધારો અને પાણીના સંકટ જેવા ગંભીર પ્રશ્નો ઉભા થશે. તેમણે સરકારને અરવલ્લીમાં ગેરકાયદેસર ખાણકામ સામે તાત્કાલિક અને સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી. આ વિરોધ પ્રદર્શન શહેરમાં ચર્ચાનો વિષય બન્યું હતું, જ્યાં પસાર થતા નાગરિકો ઓક્સિજન માસ્ક પહેરેલા યુવાનોને જોઈ તેમની માંગ વિશે જાણકારી મેળવવા ઉત્સુક દેખાયા.
પાટણ એલ.સી.બી. પોલીસે બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી છે. બાલીસણાથી ડેર જવાના રોડ પરથી એક ટ્રેક્ટર અને થ્રેસરમાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં ટ્રેક્ટર પાછળ લગાવેલ થ્રેસરના અંદરના ભાગે બનાવેલા ખાસ ગુપ્તખાનાઓમાંથી વિદેશી દારૂની કુલ 721 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ટ્રેક્ટર અને થ્રેસર સહિત કુલ 4,95,131 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2,95,131 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 721 બોટલો તેમજ 2,00,000 રૂપિયાની કિંમતનું એક ટ્રેક્ટર અને એક થ્રેસરનો સમાવેશ થાય છે. આ મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં મુદ્દામાલ ભરી આપનાર, દારૂ મંગાવનાર તેમજ ટ્રેક્ટરના માલિક અને ચાલકને પકડવાની કાર્યવાહી હાલમાં બાકી છે. આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ બાલીસણા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
ગોધરામાં ₹6.33 કરોડના ખર્ચે ST ડેપો-વર્કશોપ:નવનિર્મિત અત્યાધુનિક સંકુલનું ખાતમુહૂર્ત કરાયું
ગોધરામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ₹6.33 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ST ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પંચમહાલ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો, બસોની જાળવણી સુધારવાનો અને પરિવહન સેવાઓને વધુ ઝડપી બનાવવાનો છે. નવો વર્કશોપ ૧૪,૭૬૩ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હશે. તેમાં ૧,૩૬૫.૮૬ ચોરસ મીટરમાં મુખ્ય RCC બાંધકામ કરાશે. બસોના મેઈન્ટેનન્સ માટે ૨ લોંગ-પીટ અને ૧ યુ-પીટ જેવી આધુનિક વ્યવસ્થા ઉભી કરાશે. આ સંકુલમાં એડમિન રૂમ, ટાયર અને ઓઈલ રૂમ, સ્ટોરેજ, કર્મચારીઓ માટે આરામગૃહ અને ડિસ્પેન્સરી જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. હાલમાં, ગોધરા વિભાગ દરરોજ ૨.૫૩ લાખ કિલોમીટરનું સંચાલન કરે છે, જેમાં ૧.૧૯ લાખ જેટલા મુસાફરો અવરજવર કરે છે. આ નવા વર્કશોપના નિર્માણથી સમગ્ર વિસ્તારના પરિવહન માળખાને મોટો વેગ મળશે અને મુસાફરોને વધુ સારી સેવાઓ મળશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ST વિભાગના ઇન્ચાર્જ વિભાગીય નિયામક એ. કે. ખાટ, સિનિયર લેબર ઓફિસર જે. એમ. ચોપડા, ગોધરા ડેપો મેનેજર એમ. એચ. સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ નોધાઇ હતી. આજે હાઈકોર્ટમાં સગીરાનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો હતોસગીરા ગર્ભ રાખવા માંગતી ના હોવાથી ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં તેને દાહોદની સિવિલ હોસ્પિટલની ડોક્ટર કમિટી સમક્ષ 24 ડિસેમ્બરે હાજર થવાનું હતું અને 26 ડિસેમ્બરે તેનો મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ આવવાનો હતો. જેથી કોર્ટ આગળના નિર્દેશ આપી શકે. અજાણ્યા શખસોએ ફરીથી સગીરાનું અપહરણ કર્યુંજોકે, આજે કોર્ટ કાર્યવાહીમાં અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ છે, ત્યારે અજાણ્યા શખસોએ ફરીથી સગીરાનું અપહરણ કર્યું છે. જે સંદર્ભે દાહોદના ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારી વકીલે પણ આ ઘટનાને અનુમોદન આપ્યું હતું. જેથી અરજદારના વકીલે ફરી અરજી કરવાની છૂટ માગી અરજી પરત ખેંચી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
બનાસકાંઠામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ:આજે અને કાલે BLOs મતદાન મથકો પર હાજર રહેશે
બનાસકાંઠા ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ, તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, વિગતોની ચકાસણી કરવા અને જરૂરી ફેરફાર કરવા અપીલ કરવામાં આવી છે. નામ નોંધણી ભૂલશો નહિ, મતદાનનો મોકો ચૂકશો નહિના સંદેશ સાથે આ ઝુંબેશ ચાલી રહી છે. આજે અને આવતીકાલે બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પોતાના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ ઉપરાંત, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પ (ખાસ ઝુંબેશ) તારીખ 27/12/2025 (શનિવાર), 28/12/2025 (રવિવાર), 03/01/2026 (શનિવાર) અને 04/01/2026 (રવિવાર)ના રોજ યોજાશે. આ કેમ્પના દિવસોમાં નાગરિકો સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ શકશે. ત્યાં તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો અને ફોટો ચકાસી શકશે. જો કોઈ સુધારાની જરૂર જણાય, તો તે માટે અરજી પણ કરી શકાશે. મતદાર સંબંધિત સેવાઓ માટે વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. નવા મતદાર માટે ફોર્મ-6, બિન-નિવાસી ભારતીય મતદાર માટે ફોર્મ-6અ, મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર નંબર લિંક કરવા માટે ફોર્મ-6B, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-7, તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ-8 ભરવાનું રહેશે. જે નાગરિકોની ઉંમર 01-01-2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થાય છે, તેમને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદાર નોંધણી અને ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ પણ ઉપલબ્ધ છે, જેમાં Voter Helpline મોબાઈલ એપ, www.voterportal.eci.gov.in અને www.nvsp.in નો સમાવેશ થાય છે. રૂબરૂ સેવાઓ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નાગરિકો હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરી શકે છે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.
ભરૂચ શહેરમાં જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ જાહેરનામા મુજબ સવારના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાગુ છે.છતાં પણ આ જાહેરનામાને ખુલ્લેઆમ પડકારતા ભારે વાહનો શહેરમાં પૂરઝડપે દોડતા હોવાનો ગંભીર અને ચિંતાજનક મુદ્દો સામે આવ્યો છે. નિયમોની ખુલ્લેઆમ અવગણનાથી શહેરવાસીઓના જીવ જોખમમાં મુકાયા છે અને માર્ગ સલામતી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાની કડવી હકીકત બહાર આવી છે. આજ રોજ શુક્રવારે બપોરના 3 થી 4 વાગ્યાના સમયગાળામાં એક બેફામ ડમ્પર ચાલકે શહેર વિસ્તારમાં અતિઝડપે વાહન ચલાવી મોપેડ પર જઈ રહેલી મહિલાને અડફેટે લીધી હતી.સદનસીબે મહિલા ડમ્પરના ટાયર નીચે ન આવતા સદનસીબે બચી ગઈ, નહિતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. વધુ શરમજનક બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ પણ ડમ્પર ચાલક માનવતા અને કાયદા બંનેને પગલે ચડાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે વાયરલ થતાં શહેરમાં રોષ અને ભયનો માહોલ સર્જાયો છે. કલેક્ટરના પ્રતિબંધ હોવા છતાં પણ આવા અનેક ભારે વાહનો નિર્ભયતાથી શહેરમાં ઘૂસી રહ્યા છે,જે પ્રશાસનની કાર્યક્ષમતાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. જો આવા બેફામ વાહનો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો કોઈ મોટી જાનહાની થવાની શક્યતા નકારી શકાતી નથી.
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી આવી રહેલી પાલિકાની ચૂંટણીને પગલે એકીસાથે રૂપિયા 320 કરોડના 31 પ્રાથમિક સુવિધાઓ અને વિકાસલક્ષી કામોને સ્થાઈ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં વડોદરાનો વિકાસ આગળ વધે જેનો લાભ પાલિકાની આવનાર ચૂંટણીમાં સત્તાપક્ષને મળે તે માટે તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે. 320 કરોડથી વધુના વિકાસ કામોને લીલી ઝંડીઆ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં શહેરના વિવિધ રોડ રસ્તા, સ્વીમીંગ પુલ, ડ્રેનેજ, પાણી પુરવઠા, તળાવ નવીનીકરણ સહિતના કુલ 320 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોને સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપવામાં આવી હતી. નવા આધુનિક સ્વિમિંગ પુલ બનાવતા 10 લાખ લોકોને ફાયદોવડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં શહેરના વિવિધ ઝોનમાં થનારા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનના અકોટા વિસ્તારમાં તેમજ દક્ષિણ ઝોનના માંજલપુર વિસ્તારમાં નવા આધુનિક સ્વિમિંગ પુલ બનાવવા માટેની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં આ બંને વિસ્તરણ 10 લાખ લોકોને ફાયદો થશે. વરસાદી ગટર અને RCC રોડના કામો પણ મંજૂરઆ સ્ટે શહેરના સયાજીપુરા વિસ્તારમાં યોગ સેન્ટર, વડસર તળાવના નવીનીકરણ, તેમજ શહેરના અનેક વિસ્તારોમાં રોડ વાઈડનીંગ અને કાર્પેટ સિલકોટના કામોને મંજૂરી આપવામાં આવી છે. શહેરના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં ડ્રેનેજ લાઈન, પાણી પુરવઠા નેટવર્ક, ઊંચી પાણીની ટાંકી, તેમજ વરસાદી ગટર અને RCC રોડના કામો પણ મંજૂર કરાયા છે. આ બેઠકમાં કુલ મળીને રૂપિયા 320 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી.
દિનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશોનું કડક પાલન કરતા ભચાઉ નજીકના આંતરિક વિસ્તારોમાં મીઠા માફિયા દ્વારા કરાયેલા ગેરકાયદેસર અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી પર્યાવરણીય નુકસાન અટકાવવામાં આવ્યું છે. આ કામગીરીનું નેતૃત્વ ઉપ મુખ્ય ઇજનેર શ્રીનિવાસ રાવ અને ટ્રેડ પ્રમોશન તથા પબ્લિક રિલેશન્સ ઓફિસર (TPPRO) ઓમપ્રકાશ દાદલાણી, DPAની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. DPAની ઇજનેરી ટીમને ગુજરાત પોલીસ અને રાજ્ય પ્રશાસન તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય મદદ મળી હતી. ભચાઉથી લગભગ 14 કિલોમીટર અંદર આવેલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલા મીઠાના રેતના ઢગલા (સોલ્ટ સેન્ડ ડ્યુન્સ) તોડી પાડવામાં આવ્યા હતા. આના પરિણામે 950 એકરથી વધુ જમીનને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે. દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ પર્યાવરણ સંરક્ષણ અને કાયદેસર આદેશોના પાલન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવા કોઈપણ ગેરકાયદેસર અતિક્રમણ સામે NGTના આદેશો અને લાગુ કાયદાઓ અનુસાર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે. DPA ટકાઉ વિકાસ, પર્યાવરણીય સંતુલનના સંરક્ષણ અને તેની જમીન પર ગેરઅધિકૃત પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા રાખવા પ્રતિબદ્ધ છે.
સુભાષબ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે અમદાવાદના સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે. બ્રિજના પિલ્લરને તોડવામાં નહી..બ્રિજની આજુબાજુ 2 નવા લેન બનાવાશે. 4 ડિસેમ્બરે ખામી સામે આવ્યા બાદ બ્રિજ બંધ કરાયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાઘની સ્થાયી હાજરી નોંધાતાં બન્યુ ટાઈગર સ્ટેટ દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વાઘ લાંબા સમયથી વસવાટ કરી રહ્યો હોવાનું રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળે સત્તાવાર રીતે માન્ય કર્યું છે. આ સાથે જ ગુજરાત સિંહ, દીપડા અને વાઘની હાજરી ધરાવતું વિશ્વનું એક માત્ર સ્થળ પણ બન્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે...તેમણએ નવલખી મેદાન ખાતે યોજાઈ રહેલા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિમોલિશન નોટિસ મામલે જીગ્નેશ મેવાણી મેદાનમાં રાજકોટમાં આજી નદી કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે લોકોને દબાણો હટાવવા આપવામાં આવેલી નોટિસો સામે જીગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મ્યાનમારમાં ફસાયેલા યુવકે શેર કર્યા ઓડિયો મ્યાનમારમાં ફસાયેલા યુવકે વધુ 3 ઓડિયો શેર કર્યા..કહ્યું- ચાઈનીઝ કંપની સ્કેમ કરે છે, કરંટ આપે છે..અમને બચાવો.. તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે યુવકોને છોડાવવા મોદી-શાહને પત્ર લખ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રણચંડી બની મહિલાઓ દારુના અડ્ડા પર ત્રાટકી સુરતના પાલનપુર ગામમાં મહિલાઓએ દારુના અડ્ડા પર રેડ પાડી. બૂટલેગરે જ્યારે 'તમને શું નડે છે?' કહી ઉદ્ધતાઈ કરી ત્યારે મહિલાઓ રણચંડી બની ગઈ અને દારુની પોટલીઓ રસ્તા પર ફેંકી દીધી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિલર સાથે ભટકાઈને પૂલ નીચે ખાબકી સુરેન્દ્રનગરના પાટડી-જરવાલા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કાર પિલર સાથે ભટકાઈને પૂલ નીચે ખાબકી, જેમાં કારના ફૂરચેફૂરચા ઉડી ગયા. જોકે સદનસીબે કારમાં સવાર લખતરનાં દંપતીનો આબાદ બચાવ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ કચ્છના વાગડમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર નોંધાયું. છેલ્લા 13 દિવસમાં કચ્છમાં આ ત્રીજો આંચકો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો KTMની ઓવરસ્પીડે લીધો બે મિત્રોનો જીવ સુરતમાં કેટીએમની ઓવરસ્પીડે બે મિત્રોનો જીવ લીધો... બે મિત્રો બાઈક લઈને બીઆરટીએસ કોરિડોરમાં ફુલસ્પીડમાં ઘૂસ્યા. જ્યાં થોડી જ વારમાં એક ઝાડ સાથે અથડાઈને બંને નીચે પટકાયા અને મોતને ભેટ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અશ્વ કામા રમતોત્સવનો આજથી પ્રારંભ થયો વાંકાનેર ખાતે આજથી ત્રિદિવસીય 17માં ‘અશ્વ કામા રમતોત્સવ’ અને પ્રદર્શનનો પ્રારંભ થયો છે.ગુજરાત અને રાજસ્થાનના 250 અશ્વોએ આમાં ભાગ લીધો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પાલનપુરના ગાદલવાડા ગામના ભરત ચૌધરીની હત્યા કેસમાં બનાસકાંઠા પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પાલનપુર રામદેવ હોટલ નજીક 20 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. પ્રાથમિક તપાસ મુજબ, આ હત્યા પૈસાની લેતીદેતીના વિવાદને કારણે થઈ હતી. ગાદલવાડાના નિતિનભાઈ કેશરભાઈ ચૌધરીને આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સાથે પૈસાનો પ્રશ્ન હતો. આ અંગે વાતચીત કરવા નિતિનભાઈ, ભરતભાઈ ચૌધરી અને અન્ય એક વ્યક્તિ તેમની કાર લઈને રામદેવ હોટલ નજીક આવ્યા હતા. ત્યાં મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી અને અન્ય આશરે ચોવીસ જેટલા માણસો એકસંપ થઈને કાર, મોટરસાયકલ અને એક્ટિવા જેવા વાહનોમાં લોખંડની પાઈપો, તલવારો અને ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે આવ્યા હતા. તેમણે ફરિયાદી અને સાક્ષીઓ પર હુમલો કર્યો હતો. આરોપી ભાર્ગવ મંડોરાના સાગરીતે નિતિનભાઈને ગળાના ભાગે લોખંડની પાઈપ મારી હતી. ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળીએ જાનથી મારી નાખવાના ઈરાદે નિતિનભાઈને ડાબા હાથના બાવડા પર તલવાર મારી હતી. મૃતક ભરતભાઈ ચૌધરીને માથામાં ડાબી બાજુ કપાળ અને કાનની ઉપરના ભાગે માર મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તમામ આરોપીઓએ નિતિનભાઈ અને ભરતભાઈને ધોકા, પાઈપો અને ગડદાપાટુથી માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી, જેના પરિણામે ભરતભાઈ ચૌધરીનું મોત થયું હતું. નિતિનભાઈને માથામાં ગંભીર જીવલેણ ઈજાઓ થઈ હતી. હુમલાખોરોએ બ્રેઝા કારના કાચ તોડી રૂ. 25,000નું નુકસાન પણ કર્યું હતું અને ગુનો આચરીને નાસી છૂટ્યા હતા. આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગંભીર ગુનાની અસરકારક તપાસ અને આરોપીઓને ઝડપી પાડવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગના નેતૃત્વ હેઠળ કુલ 10 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમોમાં LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ, સાયબર ક્રાઈમ, ટેકનિકલ અને સ્થાનિક પોલીસનો સમાવેશ થતો હતો. નાયબ પોલીસ અધિક્ષકના સતત માર્ગદર્શન હેઠળ, LCBના પો.સ.ઈ. આર.બી. જાડેજાની ટીમે ગણતરીના દિવસોમાં મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા (માળી) ને રાજસ્થાનના ઉદેપુરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. અન્ય ટીમો દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલી માહિતીના આધારે અલગ-અલગ સ્થળોએથી અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરારીકી નોયલ રોકસ્બ્રો રહે.પાલનપુરભરતજી ભુરાજી રાજપુત રહે.ટડાવ તા.ઢીમા જી.વાવ થરાદભૌતિકકુમાર જગદીશભાઇ પરમાર રહે.પરખડી તા.વડગામ ગણપતભાઇ સેનજીભાઇ ચૌહાણ (ઠાકોર) રહે.આકેસણ તા.પાલનપુર અનિલભાઇ શંકરભાઇ બાવરી રહે.તારાનગર, બાવરી ડેરા, પાલનપુર
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે 850 કરોડ રૂપિયાના સોલાર પ્લાન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલે આ મામલે વડાપ્રધાન કાર્યાલય (PMO) અને લાંચ-રુશ્વત બ્યુરો (ACB) સહિતના વિભાગોમાં રજૂઆત કરી છે. ફરિયાદમાં એન.એસ. સોલાર પ્લાન્ટ અને જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂત અશ્વિનભાઈ પટેલે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વિગતો સાથે રજૂઆત કરી છે. આ 850 કરોડ રૂપિયાનો સોલાર પ્લાન્ટ ઘુડખર અભયારણ્યની નજીક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
વડોદરા શહેરના આજે કોંગ્રેસની જન આક્રોશ રેલીનું આગમન થયું છે. શહેરના છાણી વિસ્તારમાંથી શહેરમાં પ્રવેશ કર્યો છે. આ રેલીનું નેતૃત્વ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી શહેરના છાણી જકાતનાકા, ફતેહગંજ, કાલાઘોડા, મંડવી સહિત વિસ્તારોમાં ફરી કુલ 38 કિમીની યાત્રા યોજાશે. આ રેલીમાં દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો અને કાયદો-વ્યવસ્થા સાથે પાણી, ડ્રેનેજ, પૂર, પ્રદૂષણ અને નગરપાલિકાની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રેલીની આગેવાની કરતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આક્રોશ યાત્રાથી લોકોમાં ભય અને ડરનો માહોલ દૂર થયોગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ રેલીના લોકો ઉમળકાભેર જોડાઈ રહ્યા છે. પોતાના પ્રશ્નો ખુલીને કહી રહ્યા છે અને લડાઈ લડવાનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે હું માનું છું કે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, એ ભય અને ડર દૂર થઈ રહ્યો છે. લોકો ખુલીને બોલતા થયા છે અને લડવા માટે બહાર આવ્યા છે. એટલે આ જન આક્રોશ યાત્રા 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ સાબિત થવાની છે. બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચારવધુમાં કહ્યું કે, બાંગ્લાદેશમાં જે રીતે લઘુમતી એટલે કે હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે એમની હત્યાઓ થઈ રહી છે, ઝુલમ થઈ રહ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમે 56ની છાતી વાળા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે ચૂંટણી પહેલા ખૂબ ભાષણો કર્યા હતા કે 56ની છાતી છે, પડોશી રાષ્ટ્રો પછી પાકિસ્તાન હોય કે બીજા કોઈપણ રાષ્ટ્ર હોય, કોઈપણ રીતે જો ગુસ્તાખી કરશે તો લાલ આંખ બતાવીશું. અમે વાટાઘાટો નહીં પણ એનો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. બાંગ્લાદેશમાં થતા અત્યાચારને રોકો અને રક્ષણ આપોવધુમાં કહ્યું કે, આજે અમે દેશના પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે બાંગ્લાદેશ જેનું સર્જન કરવામાં લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીની શક્તિ હતી, વિઝન હતું એ કારણભૂત છે. એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર, લઘુમતીઓ પર અત્યાચાર થતા હોય, જે લોકો એના પર અત્યાચાર કરતા હોય એની સામે લાલ આંખ બતાવો અને હિન્દુઓનું રક્ષણ કરો. હિન્દુઓના નામે અહીંયા રાજનીતિ કરો છો, અહીંયા તમારી પાસે સત્તા છે, તમામ જાતની તાકાત છે, તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની કતલેઆમ થાય છે, જે અત્યાચાર થાય છે, જે ઝુલમ થાય છે એને તાત્કાલિક રોકો અને એને રક્ષણ આપો. ગુજરાતની સાડા છ કરોડની જનતાની ભાજપને ચિંતા નથીજેઠાભાઈ ભરવાડના રાજીનામા અંગે જણાવ્યું કે, ભાજપમાં ઘણું બધું ચાલે છે. આંતરિક ગેંગ વોર ચાલે છે. ક્યાંક પત્રો લખીને લડાઈ થાય છે, ક્યાંક રાજીનામાઓ લઈને લડાઈ થાય છે. ક્યાંક કોઈક મંત્રી બની જાય છે, ક્યાંક કોઈક સપના રોળાઈ જાય છે. આખી લડાઈ એ ભાજપની આંતરિક લડાઈ છે. ગુજરાતની સાડા છ કરોડની જનતાની ભાજપને ચિંતા નથી પણ એમના હોદ્દાઓની, એમની સત્તાઓની, એમના પૈસાની અને એમની જે પ્રતિષ્ઠાની લડાઈ છે એમાં આખા ગુજરાતના લોકો પીસાઈ રહ્યા છે.
કુતિયાણા તાલુકાના ચૌટા ગામે સરકારી પડતર જમીન પર દબાણ હટાવવા માટે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 40 વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા લોકોની ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી હતી. આશરે 15 વીઘા જમીન ખાલી કરાઈ, જેની અંદાજિત કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. કાર્યવાહી દરમિયાન સ્થળ પર ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. એક વૃદ્ધ મહિલાએ સરકારી અધિકારીઓ સામે હાથ જોડીને રડતા રડતા આજીજી કરી હતી. તેમણે કહ્યું કે, મારા નાના બાળકોને લઈને હું ક્યાં જાઉં? કમાવાવાળો કોઈ નથી. ઝૂંપડામાં રહીને જ ગુજરાન ચાલે છે. જો આ પણ તોડી નાંખશો તો અમારું શું થશે? આ ઉપરાંત, ગામના એક દિવ્યાંગ વ્યક્તિને ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ ફાળવવામાં આવેલી જગ્યા પણ તંત્ર દ્વારા પાછી લઈ લેવામાં આવી હતી. આ વ્યક્તિ છેલ્લા 23 વર્ષથી આ જગ્યા માટે રજૂઆતો કરી રહ્યો હોવા છતાં કોઈ સાંભળતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. બુલડોઝર કાર્યવાહીમાં તેનું મકાન પણ ધરાશાયી કરી દેવામાં આવ્યું. કાર્યવાહી દરમિયાન એક મકાનમાં રહેતી મહિલાને અચાનક ચક્કર આવતા તે બેભાન થઈ ગઈ હતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા કુતિયાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી, કુતિયાણા મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કુતિયાણા પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ તહેનાત રાખવામાં આવ્યો હતો.
નવસારીમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી:સાહિબજાદાઓના બલિદાન અને શૌર્યને કરાયું યાદ
આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહના બલિદાન અને શૌર્યની સ્મૃતિમાં આયોજિત કરાયો હતો. સાહિબજાદાઓએ ધર્મ અને સત્યની રક્ષા માટે નાની વયમાં જ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેમની શહાદતને યાદ કરતો આ કાર્યક્રમ સમાજમાં વીરતા, સાહસ અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના હેતુથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર, સંગઠનના પ્રમુખ, મુખ્ય વક્તા શ્રીમતી વૈશાલીબેન પારેખ સહિત વિવિધ શાળાઓના 900થી વધુ બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં, મ્યુનિસિપલ કમિશ્નરએ શહીદ બાળ વીરોની ઐતિહાસિક ઘટના અને તેનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે આ બે બાળકોએ ધર્મ અને સિદ્ધાંતો માટે પોતાના જીવનનું બલિદાન આપી, સમગ્ર દેશને અડગ હિંમત અને સિદ્ધાંતનિષ્ઠાનો પાઠ શીખવ્યો. શ્રીમતી વૈશાલીબેન પારેખે બાળકોને સંબોધિત કરતાં કહ્યું કે, “શૌર્ય ઉંમરની બાબત નથી, તે આત્મબળ અને વિચારની દૃઢતાની બાબત છે. તમારામાં રહેલા સાહસ અને સંકલ્પબળને ઓળખો અને તેને સદ્માર્ગે વાપરો.” તેમણે યુવા પેઢીમાં દેશભક્તિ, સમાજસેવા અને નીતિમત્તાના સંસ્કાર વિકસાવવા પ્રેરણાદાયી સંદેશ આપ્યો. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ કાર્યક્રમને સંબોધિત કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસને રાષ્ટ્રીય ‘વીર બાળ દિવસ’ તરીકે ઘોષિત કરવાના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે આ નિર્ણય દ્વારા દેશના ભવિષ્યરૂપ બાળકો અને યુવાઓના મનમાં વીરતા, સાહસ અને રાષ્ટ્રપ્રેમની ભાવના પુનઃ પ્રદીપ્ત કરવાનો ઉદ્દેશ્ય રહ્યો છે. કાર્યક્રમના અંત ભાગમાં, શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શહેરના 400 બાળકોને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્ન તરીકે મેડલ પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સમાપન સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય ભાવના સાથે થયું, જેમાં દિલ્હી ખાતેથી જીવંત પ્રસારિત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું પ્રસારણ પણ કરાયું હતું. આ પ્રસંગે બાળકોમાં રાષ્ટ્રભક્તિ અને શૌર્યગાથાઓ પ્રત્યેની જિજ્ઞાસા જાગૃત થઈ.
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનર આસ્થા સોલંકી તથા અશ્વિન પાઠકની દેખરેખ હેઠળ, KBS કોલેજ, ચણોદના NSS વિદ્યાર્થીઓએ વાપી સુલપડ વિસ્તારમાં કાર્યરત રાત્રિ આશ્રયસ્થાન (રેઈન બસેરા)ની મુલાકાત લીધી હતી. વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત અને સહયોગ હેલ્પિંગ હેન્ડ, વાપી દ્વારા સંચાલિત આ રાત્રિ આશ્રયસ્થાન બેઘર વ્યક્તિઓને મફત રહેવાની વ્યવસ્થા અને સંભાળ પૂરી પાડે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને મનપા દ્વારા ઘરવિહોણા વ્યક્તિઓ માટે પૂરી પાડવામાં આવતી સુવિધાઓથી પરિચિત કરાવવાનો અને સમાજના વંચિત વર્ગને સામાજિક સહયોગ આપવાનો હતો. આ મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ રહેવાસીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું અવલોકન કર્યું. જેમાં સવારે ગરમ નાસ્તો, બપોરે સાત્વિક ભોજન, સાંજનો નાસ્તો અને રાત્રિભોજનનો સમાવેશ થાય છે. આશ્રયસ્થાનમાં આશ્રિતોને કપડાં ધોવા માટે વોશિંગ મશીન, મનોરંજન માટે ટેલિવિઝન અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે આશ્રિતો માટે આરામ અને ગૌરવ સુનિશ્ચિત કરે છે. આ સેવાઓ ઉપરાંત, રહેવાસીઓને રોજગાર મેળવવામાં અને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા કૌશલ્ય તાલીમ અને પ્રેરક સત્રો પૂરા પાડવામાં આવે છે. સમયાંતરે મેડિકલ હેલ્થ કેમ્પ યોજાય છે અને દરરોજ સાંજે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગા કરાવવામાં આવે છે. અઠવાડિયામાં બે વખત મેડિટેશન કાર્યક્રમ પણ યોજાય છે, અને વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારોની ઉજવણીમાં પણ તેમને સામેલ કરવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન વાપી મનપાના પ્રોજેક્ટ ઓફિસર રામચંદ્ર દેસાઈ, સમાજ સંગઠક વીણાબેન, સિટી મેનેજર કૃતિકાબેન અને KBS કોલેજના NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ખુશ્બુબેન દેસાઈ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું અને વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી કલ્યાણકારી પહેલો વિશે મૂલ્યવાન સમજ આપી. તેમણે સમાજના વંચિત વર્ગોને ટેકો આપવા માટે નાગરિક અધિકારો અને સામાજિક સંગઠનોના સહયોગી પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો.
બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં પ્રવર્તમાન રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી આ કમિટીએ ગત તારીખ 24/12/2025 ના રોજ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ રોગચાળાને નિયંત્રિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં જૂની અને વારંવાર લીકેજ થતી પાણીની પાઈપલાઈન તેમજ ગટરલાઈનોને તાત્કાલિક ધોરણે બદલવાનો છે. બાલાસિનોરના વિજય ટોકીઝ વિસ્તારમાં કમળાના 36 કેસો અને ટીમ્બા મહોલ્લામાં 22 કેસો નોંધાયા છે. રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વિજય ટોકીઝ વિસ્તારના 280 મકાનો અને ટીમ્બા મહોલ્લાના 70 મકાનોનો સઘન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન પ્રદૂષિત પાણીની સમસ્યા નિવારવા માટે જર્જરિત લાઈનો બદલવા પર ભાર મૂકવામાં આવ્યો. હાલમાં, આ અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 600 મીટર જેટલી જૂની પાઈપલાઈન બદલવાનું કામ પ્રગતિ હેઠળ છે. તંત્ર દ્વારા આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે તમામ સંસાધનો કામે લગાડવામાં આવ્યા છે, જેથી સ્થાનિક રહીશોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાય અને રોગચાળાના ફેલાવાને અટકાવી શકાય. કમિટી દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર જણાયે વધુ પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.
ગાંધીનગર સેક્ટર-24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી જન્માવી હતી. ગાંધીનગર પોલીસે ગણતરીના દિવસોમાં જ બિહારનો વતની અને સેક્ટર-25 GIDCમાં મજૂરી કરતા રામગનીત દેવ નંદન યાદવને દબોચી લીધો હતો. આરોપીના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલના સળિયા પાછળ ધકેલ્યોગાંધીનગરને હચમચાવી નાખનાર સેક્ટર-24 દુષ્કર્મ કેસમાં પોલીસે નરાધમ આરોપી વિરુદ્ધ કડક કાયદાકીય સકંજો કસ્યો છે. પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનાર બિહારના આરોપી રામગનીત યાદવના રિમાન્ડ પૂર્ણ થતા હવે તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આરોપીએ 10 દિવસ રેકી બાદ જધન્ય કૃત્ય આચર્યુંઆ પ્રકરણમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપી રામગનીત ઇન્દિરા નગરની એક કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો હતો, જ્યાં તેની નજર આ બાળકી પર પડી હતી. આરોપીએ આ કૃત્ય આચરવા માટે 10 દિવસ પહેલાથી પ્લાન ઘડી કાઢ્યો હતો અને સતત બાળકીની રેકી કરતો હતો. આ કૃત્ય આચરીને તેની વતન ભાગી જવાની તૈયારીઓ હતી. લોહીલુહાણ હાલતમાં બાળકી પરિવાર પાસે પહોંચી15મી ડિસેમ્બરની મધરાતે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે તેણે બાળકીનું મોઢું દબાવી અપહરણ કર્યું અને નજીકની ઝાડીઓમાં લઈ જઈ હેવાનીયત આચરી હતી. દુષ્કર્મ બાદ બાળકી બેભાન થઈ ગઈ હતી. ત્યારે આરોપી ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ થોડીવાર પછી તે પાછો એ ચેક કરવા આવ્યો હતો કે બાળકી જીવતી છે કે મરી ગઈ છે. જોકે કુદરતી કરામત કહો કે બાળકીની હિંમત તે હોશમાં આવતા જ અંધારામાં લથડતા પગે પોતાના પરિવાર પાસે પહોંચી ગઈ હતી. જેના કારણે આ આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ગુનેગારને રોકવા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુંજોકે, ધરપકડ બાદ જ્યારે પોલીસ આરોપીને ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસે સ્વબચાવમાં અને ગુનેગારને રોકવા માટે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી રામગનીતના પગમાં વાગી હતી. સિવિલમાં સારવાર બાદ તેના ચાર દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસે ભોગ બનનાર માસૂમ બાળકીનું નિવેદન નોંધ્યું છે. આ ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઊંડી તપાસ કરી ગુનાના તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર પોલીસે આ કેસમાં ચાર્જશીટ રજૂ કરીઆજે રિમાન્ડ પૂરા થતા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસ હવે આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરી આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કડકમાં કડક સજા અપાવવાની દિશામાં આગળ વધી રહી છે.
દલપુર પાસે અજાણ્યા વાહન સાથે રિક્ષા અથડાઈ:રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે મોત, એક ઘાયલ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક નેશનલ હાઈવે પર ગુરુવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક રિક્ષા અજાણ્યા વાહન સાથે અથડાતા રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગરથી સેજીપુર જઈ રહેલી રિક્ષા દલપુર પાસે અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. મૃતક રિક્ષા ચાલકની ઓળખ બળદેવસિંહ લાલસિંહ સોલંકી (ઉંમર ૫૫, રહે. સેજીપુર, તા. પ્રાંતિજ) તરીકે થઈ છે. રિક્ષામાં બેઠેલા શિવસિંહ મોતીસિંહ રાઠોડ (ઉંમર ૫૮, રહે. સેજીપુર, તા. પ્રાંતિજ)ને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના સફળ:1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે લાભ
ગુજરાત સરકારની ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ વલસાડ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪થી શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો છે. આ યોજના અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને દૈનિક પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવે છે, જે તેમના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસને વેગ આપે છે. વલસાડ જિલ્લામાં કુલ ૯૫૯ શાળાઓના અંદાજે ૧,૧૧,૩૩૯ વિદ્યાર્થીઓ આ યોજનાનો નિયમિત લાભ લઈ રહ્યા છે. આમાં બાલવાટિકાના ૧૧,૮૬૧, ધોરણ ૧ થી ૫ના ૫૯,૪૯૭ અને ધોરણ ૬ થી ૮ના ૩૯,૯૮૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અલ્પાહારનું વિતરણ સમયસર અને ગુણવત્તાયુક્ત રહે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ, શાળા સંચાલન સમિતિઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાએ જણાવ્યું હતું કે, યોજના હેઠળ બાળકોને મેનુ મુજબ વૈવિધ્યસભર અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ નાસ્તામાં ચણા, મિક્સ કઠોળ, ચણા ચાટ અને ઊર્જાસભર સીંગદાણાવાળી સુખડીનો સમાવેશ થાય છે, જે બાળકોમાં ખાસ લોકપ્રિય બની છે. આ પૌષ્ટિક આહારથી બાળકોને જરૂરી કેલરી, પ્રોટીન અને વિટામિન્સ મળી રહ્યા છે, જેનાથી તેમનું સ્વાસ્થ્ય મજબૂત બન્યું છે. શાળાઓમાં સવારના સમયે પૌષ્ટિક નાસ્તો મળવાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. આના પરિણામે શાળામાં હાજરીનું પ્રમાણ વધ્યું છે અને ભણતર પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ પણ વધી છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના શ્રમિક તથા મધ્યમ વર્ગના પરિવારો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ‘કુપોષણ મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે અમલમાં આવેલી આ યોજના સુશાસન, સંવેદનશીલતા અને સર્વાંગી વિકાસના સિદ્ધાંતોને સાકાર કરતી એક મહત્વપૂર્ણ પહેલ છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણના સંકલન દ્વારા રાજ્યના બાળકોને સ્વસ્થ બાળપણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ સીમાચિહ્નરૂપ બની રહ્યો છે.
ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દિલ્હી હાઇકોર્ટની એક બેંન્ચે સજા મોકૂફ કરી દીધી. જેને લઈને NSUI દ્વારા ચાંદલોડિયામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કુલદીપસિંહ સેંગરના પોસ્ટર સળગાવીને ફાંસીની સજા આપવાની માગ સાથે NSUIના કાર્યકર્તાઓએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, તે બાદ પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. જે દરમિયાન NSUIના કેટલાક કાર્યકર્તાઓના કપડા પણ ફાટી ગયા હતા. તો એક NSUIનો કાર્યકર્તા બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈ જવાના બદલે પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે રેપ કેસના આરોપી સેંગરની સજા મોકૂફ કરીઉન્નાવ રેપ કેસમાં ટ્રાયલ કોર્ટમાંથી પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આજીવન જેલની સજા મળ્યાનાં 6 કરતાં વધારે વર્ષ પછી દિલ્હી હાઇકોર્ટની એક બેન્ચે સજા મોકૂફ કરી દીધી. દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા કુલદીપસિંહ સેંગરની આજીવન કેદની સજા સ્થગિત કરી દીધી હતી. વર્ષ 2017માં ઉન્નાવમાં થયેલા રેપ અને હત્યા કેસમાં સજા ભોગવતા કુલદીપસિંહ સેંગરને રેપ કેસમાં જામીન મળતા ગુજરાતમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI દ્વારા કુલદીપસિંહ સેંગરના પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શનચાંદલોડિયા વિસ્તારમાં ગુજરાત NSUI દ્વારા કુલદીપસિંહ સેંગરના પોસ્ટર સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કુલદીપસિંહ સેંગર પોસ્ટર સળગાવતા પોલીસે દોડી આવી હતી અને સળગાવેલા પોસ્ટર બુઝાવી દેવામાં આવ્યા હતા. કુલદીપસિંહ સેંગરના પોસ્ટર સળગાવ્યા બાદ ફાંસીની સજાની માગ સાથે રસ્તા બેસીને નારા લગાવ્યા હતા. ભાજપના રાજમાં બળાત્કારીઓ મોજમાં હોવાના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રસ્તો પર બેસીને વિરોધ કરતા ભારે ટ્રાફિક પણ થઈ ગયો હતો. જેથી પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા ખેંચી ખેંચીને NSUIના કેટલાક કાર્યકર્તાઓને પોલીસની બસમાં બેસાડવામાં આવ્યા હતા. જે દરમિયાન કેટલાક કાર્યકર્તાઓના તો કપડા પણ ફાટી ગયા હતા. NSUIના કાર્યકર્તાઓની પોલીસ સાથે ઝપાઝપીકુલદીપસિંહ સેંગરને ફાંસીની સજાની માગ સાથે વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તાઓની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. જે દરમિયાન NSUIનો એક કાર્યકર્તા બેભાન થઈ ગયો હતો. NSUIનો કાર્યકર્તા બેભાન થઈ ગયો હોવા છતાં પોલીસ તેને હોસ્પિટલ લઈ જવાના બદલે પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હોવાનો NSUIના અન્ય કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે. વીડિયોમાં પણ NSUIનો એક કાર્યકર્તા બેભાન થઈ જતા અન્ય કાર્યકર્તાઓ પોલીસ પાસે તેને હોસ્પિટલ લઈ જવા માટે આજીજી કરતા પણ જોવા મળ્યા હતા. જે બાદ વડગામના ધારાસભ્યએ ટ્વીટ કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપવી જોઈએ. વિદ્યાર્થીઓને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે માગ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં વિકાસને લઈને રાજકારણ ગરમાયું છે. ગ્રામ પંચાયતને 15મા નાણાં પંચ હેઠળ રૂ.66 લાખની ગ્રાન્ટ મળવા છતાં રાજકીય ખેંચતાણના કારણે વિકાસ કામો અટકી ગયા છે. સરપંચ અને સભ્યો વચ્ચેની ખેંચતાણે કર્મચારીઓના પગાર પર પણ અસર પડી છે. ગામનો વીકાસ આજે કાગળોમાં જ અટવાઈ ગયો છે. ગામના રસ્તા,પાણી પુરવઠા,સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવા મૂળભૂત કામો માટેના પ્રસ્તાવો રાજકીય વિરોધમાં ફસાયા છે. સરપંચ સુરપાલસિંહ બારડે જણાવ્યું હતું કે 15મા નાણાં પંચ અંતર્ગત પંચાયતને રૂ.66 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી રસ્તા, પાણી પુરવઠા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવા મૂળભૂત વિકાસ કામો શરૂ કરવા માટે સરપંચ સહિત ચાર સભ્યોએ સંમતિ આપી હતી. જોકે, ઉપસરપંચ સહિત છ સભ્યોએ વિકાસ કામોના પ્રસ્તાવો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના વિરોધને કારણે ઠરાવ મંજૂર થઈ શક્યો ન હતો અને બેઠક અનિર્ણિત રહી હતી. આના પરિણામે વિકાસ કામો શરૂ થઈ શક્યા નથી અને ગ્રામ પંચાયતનો વહીવટ ફરી અટકી ગયો છે. આ ઘટના દર્શાવે છે કે સરપંચ અને તેમના ચાર સમર્થક સભ્યો ગામના વિકાસ માટે પ્રયત્નશીલ છે. બીજી તરફ, ઉપસરપંચ જૂથ દ્વારા ઉપરાઉપરી બે બેઠકોમાં વિકાસ પ્રસ્તાવોનો વિરોધ કરવામાં આવતા પંચાયતની કામગીરી સ્થગિત થઈ રહી છે. આ રાજકીય ખેંચતાણનો સૌથી મોટો ભોગ બન્યા છે.ગ્રામ પંચાયતના કર્મચારીઓ, પાણી પુરવઠા, સફાઈ અને પટાવાળા કર્મચારીઓને છેલ્લા આઠ મહિનાથી પગાર મળ્યો નથી. પરિવાર ચલાવવો મુશ્કેલ બન્યો છે. ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારી અશ્વિનભાઈ સોલંકી એ જણાવ્યું કે, એક વર્ષ થી પગાર નથી મળ્યો. ઘરખર્ચ, બાળકોની ફી બધું મુશ્કેલ બન્યું છે. અમને રાજકારણ નહીં, રોજગાર જોઈએ.” આ સમગ્ર પરિસ્થિતિથી મિતીયાજ ગામના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામના લોકો પણ હવે સવાલ ઉઠાવી રહ્યા છે… વિકાસ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો એકબીજા સામે લડી રહ્યા હોય તો ગામનું ભવિષ્ય કોના હાથમાં?સ્થાનિક અગ્રણી લલિત વાળા એ જણાવ્યું હતું કે, “અમને રાજકારણમાં રસ નથી. ગામમાં રોડ, પાણી અને સફાઈ જોઈએ. બધા પ્રતિનિધિઓએ એક થઈને વિકાસ કરવો જોઈએ.” મિતયાજ ગામની સમસ્યા મામલે ગામના તલાટી મંત્રી કે તાલુકા વિકાસ અધિકારી મીડિયા સમક્ષ કાંઈ બોલવા રાજી નથી આ મામલે ચૂપકીદી સેવી લીધી છે. ત્યારે મિતીયાજ ગ્રામ પંચાયત પાસે ફંડ છે, પરંતુ સહમતિ નથી...હવે જોવાનું એ રહેશે કે રાજકીય મતભેદો પર ગામનો વિકાસ હાવી થાય છે કે પછી વિકાસ ફરી એકવાર ફાઈલોમાં જ બંધાઈ રહેશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં ગુજરાત એજ્યુકેશન સર્વિસ (GES) ક્લાસ-2ના અધિકારીઓની મહત્વપૂર્ણ બદલીનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે. 26 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલા આ આદેશ મુજબ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અનેક આચાર્યો, અધિકારીઓ અને નિરીક્ષકોને નવા જિલ્લામાં નિમણૂંક આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આ ટ્રાન્સફર ઓર્ડરમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. વહીવટી સુવ્યવસ્થા અને શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારાના હેતુથી આ બદલી કરવામાં આવી હોવાનું વિભાગીય સૂત્રો જણાવે છે. તાત્કાલિક અમલની સૂચનાઆદેશ અનુસાર કેટલાક અધિકારીઓને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, કેટલાકને સરકારી માધ્યમિક શાળાઓ અને RMSA હેઠળની શાળાઓમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ બદલી તાત્કાલિક અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આ બદલી સંપૂર્ણપણે વહીવટી હિત અને શૈક્ષણિક વ્યવસ્થાના મજબૂતીકરણ માટે કરવામાં આવી છે. આગામી દિવસોમાં નવા અધિકારીઓની નિમણૂંકથી શિક્ષણ કામગીરી વધુ સક્રિય બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આણંદમાં વીર બાળ દિવસની ઉજવણી:પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લામાં વીર બાલ દિવસની ઉજવણી પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં ડી.એન. હાઈસ્કૂલના મહાત્મા ગાંધી હોલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ શીખ ધર્મના દસમા ગુરુ ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને સાહિબજાદા ફતેહ સિંહજીના અદ્ભુત શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે. પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોગલ શાસક ઔરંગજેબના સમયમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હતું. ગુરુ ગોબિંદ સિંહજીએ ધર્મની રક્ષા માટે ખાલસા પંથની સ્થાપના કરી હતી. આ સમયગાળા દરમિયાન ગુરુજીએ પરિવાર સાથે આનંદપુર સાહિબ છોડવું પડ્યું હતું. ચમકૌરના યુદ્ધમાં ગુરુજીના મોટા બે પુત્રો વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ ગુરુ ગોબિંદ સિંહજી તેમની માતા ગુજરીજી અને બે નાના પુત્રો સાથે આગળ વધ્યા હતા, પરંતુ સરસા નદી પાર કરતી વખતે પરિવાર અલગ પડી ગયો હતો. બે નાના સાહિબજાદા અને માતા ગુજરીજીને ગુરુજીના વફાદાર નોકર ગંગુ બ્રાહ્મણે આશરો આપ્યો હતો. જોકે, તેણે લાલચમાં આવી મોગલ અધિકારીઓને જાણ કરી દીધી હતી. પરિણામે ત્રણેયને પકડીને સરહિંદના સુબા વઝીર ખાન પાસે લઈ જવામાં આવ્યા હતા. વઝીર ખાને નાના સાહિબજાદાઓને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ અને ધમકી આપી હતી. નાની ઉંમર હોવા છતાં બંને સાહિબજાદાઓ અડગ રહ્યા અને જણાવ્યું કે તેઓ ગુરુ ગોબિંદ સિંહજીના પુત્રો છે અને ક્યારેય ધર્મનો ત્યાગ કરશે નહીં. આખરે વઝીર ખાનના આદેશથી બંને સાહિબજાદાઓને જીવતા દીવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાનો આઘાત સહન ન કરી શકતાં માતા ગુજરીજીએ પણ પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. આ બે વીર બાળકોના બલિદાનથી આજના બાળકોને ધર્મ, સત્ય અને ન્યાય માટે અડગ રહેવાની પ્રેરણા મળે છે. કાર્યક્રમ સ્થળે સંસ્થાના પટ્ટાગણમાં સાહિબજાદાઓના બલિદાનની ગાથા વર્ણવતા સ્ટેન્ડી પણ ઉભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં વીર બાલ દિવસની ઉજવણીનો હેતુ દર્શાવતો વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
બાવળ કાઠીયા પાસે ઇકો કારમાં આગ:અંબાજી જતી કાર સળગી, ફાયર વિભાગે આગ બુઝાવી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બાવળ કાઠીયા ગામ નજીક એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના આજે બની હતી. ખેડબ્રહ્માથી ખેરોજ તરફ અંબાજી જઈ રહેલી આ કારમાં આગ લાગતા ચાલકે સમયસૂચકતા વાપરી તાત્કાલિક બહાર નીકળી ગયો હતો, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના અંગે અંબાજી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા, ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.
વલસાડ રૂરલ પોલીસે બે વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી:SMCના પ્રોહિબિશન કેસમાં સંડોવાયેલા હતા
વલસાડ રૂરલ પોલીસે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા 25 જુલાઈ, 2025ના રોજ નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ બારડોલીના યોગેશ રવજીભાઈ પટેલ અને કેયુર રોહિત પટેલ છે. ગાંધીનગર SMCની ટીમે 25 જુલાઈ, 2025ના રોજ વલસાડ જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. આ કેસની તપાસ વલસાડ સિટી પોલીસને સોંપવામાં આવી હતી. તપાસમાં ઝડપાયેલા આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે દારૂનો આ જથ્થો યોગેશ પટેલ અને કેયુર પટેલ દ્વારા મંગાવવામાં આવ્યો હતો, જેના આધારે બંનેને વોન્ટેડ જાહેર કરાયા હતા. તાજેતરમાં, બારડોલી પોલીસે જુગારના એક કેસમાં યોગેશ રવજીભાઈ પટેલ અને કેયુર રોહિત પટેલને ઝડપ્યા હતા. બારડોલી પોલીસની પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ 25 જુલાઈના વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ છે. બારડોલી પોલીસે આ અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ, PI એસ. એન. ગડ્ડુંના નેતૃત્વ હેઠળની વલસાડ રૂરલ પોલીસ ટીમે બંને આરોપીઓનો કબ્જો મેળવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને ઉપલબ્ધ પુરાવાના આધારે, વલસાડ રૂરલ પોલીસે તેમની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસ હાથ ધરી છે.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના ઇજનેરોના સંગઠન GEBEA (Gujarat Electricity Board Engineers' Association) દ્વારા જૂનાગઢના આંગણે ભવ્ય ત્રિવાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો આપવા માટે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આગામી ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ ઇજનેરોનો આ વિરાટ મહાસંગમ યોજાશે. જૂનાગઢની ધોરાજી ચોકડી પાસે આવેલા હરિભાઈ ગોધાણી કેમ્પસ ખાતે આ બે દિવસીય અધિવેશન યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અને જીઈબી એસોસિએશનના પ્રેસિડેન્ટ ગોરધન ઝડફિયા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જૂનાગઢના સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. એસોસિએશનના જનરલ સેક્રેટરીએ વધુમાં જણાવ્યું કે GEBEA માં હાલ 7000 થી વધુ સભ્યો જોડાયેલા છે. આ અધિવેશનમાં ગુજરાતભરના વીજ ઇજનેરો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે, જેના કારણે અંદાજે ૬૦૦૦થી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આ પ્રકારના આયોજનથી રાજ્યના તમામ વીજ ઇજનેરોમાં એકતા અને સંકલન મજબૂત બનશે. અધિવેશન દરમિયાન GEBEA મંડળના આગામી ટર્મ માટેના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ સાથે જ સંગઠનના ભવિષ્યના લક્ષ્યાંકો અને વીજ ક્ષેત્રે આવનારા પડકારો અંગે પણ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. હરિભાઈ ગોધાણી કેમ્પસ ખાતે આયોજિત આ બે દિવસીય કાર્યક્રમમાં ભોજન સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ આ મંચ પરથી રાજ્યના વીજ માળખાને વધુ સુદ્રઢ બનાવવા અને ઇજનેરોના વિવિધ પ્રશ્નો પર સરકારનું ધ્યાન દોરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીઓ માટે એસોસિએશનના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
દાહોદ SOG પોલીસે ઉતરાયણ પૂર્વે સંજેલીમાં મોટી કાર્યવાહી કરી છે. સંતરામપુર રોડ પર આવેલી સાવરીયા મોબાઈલ દુકાન પર ઓચિંતો છાપો મારી ₹89,700નો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે દુકાનદારની અટકાયત કરવામાં આવી છે. સરકાર દ્વારા પક્ષીઓ અને માનવજીવન માટે અત્યંત જોખમરૂપ ચાઈનીઝ દોરી અને તુક્કલ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, ઉતરાયણ દરમિયાન કેટલાક વેપારીઓ ગેરકાયદેસર રીતે આ સામગ્રીનું વેચાણ કરતા હોવાની ફરિયાદો સતત મળી રહી છે. તાજેતરમાં જ દાહોદ વિસ્તારમાં ચાઈનીઝ દોરીના કારણે એક બાઈકસવાર યુવકને ગંભીર ઈજા થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવો પડ્યો હતો અને તેના ગળાના ભાગે આશરે 50 ટાંકા લેવા પડ્યા હતા. આવી ઘટનાઓને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલીસ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત નજર રાખી રહી હતી. ગુપ્ત બાતમીના આધારે SOGની ટીમે ગઈકાલે સંજેલીમાં છાપો માર્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી 150 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા (કિંમત ₹75,000) અને 490 નંગ ચાઈનીઝ તુક્કલ (કિંમત ₹14,700) મળી કુલ ₹89,700નો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ મામલે દુકાન માલિક યશવંતભાઈ ખૂબીલાલ જીનગરની અટકાયત કરીને સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંજેલી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદના વાસણા સ્વામીનારાયણ મંદીરમાં સોનાનો હાર ચઢાવવાનું કહીને ગઠિયો સ્વામીને વિશ્વાસમાં લઇ 51 ગ્રામ સોનાનો હાર લઇને ફરાર થઇ ગયો છે. દીકરીને સરકારી મેડિકલ હોસ્પિટલમાં એડમીશન મળશે તો 51 ગ્રામ સોનાનો હાર ચઢાવવાની માનતા રાખી હોવાનું કહીને સ્વામી પાસે સોનાનો હાર જોવા માટે મંગાવ્યો હતો. બાદમાં તેઓને વિશ્વાસમાં લઇ ગઠિયો હાર લઇને પલાયન થઇ ગયો છે. જે અંગેની જાણ પોલીસને કરતાં વાસણા પોલીસે ફરીયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. '51 ગ્રામ સોનાનો હાર ચઢાવવો છે, જેથી મને હાર બતાવજો તેમ વાત કરી હતી'વાસણા વિસ્તારમાં રહેતા અને સ્વામીનારાયણ મંદીરમાં કાઠોરી તરીકે સેવા કરતા અમરતભાઇ પટેલે વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોધાવી છે. 20મી ડિસેમ્બરના દિવસે સાંજના સમયે તેમના મોબાઇલ પર અજાણ્યા શખ્સએ ફોન કરીને કહ્યું હતું કે, મારી દીકરી માટે માનતા રાખેલ હતી કે દીકરીને સરકારી મેડીકલ હોસ્પિટલમાં એડમીશન મળી જાય તો 51 ગ્રામ સોનાનો હાર ચઢાવીશ. ગઠિયાની દીકરીને ભાવનગર ખાતે એડમીશન મળી ગયેલ હોવાથી 51 ગ્રામ સોનાનો હાર ચઢાવવો છે જેથી મને હાર બતાવજો તેમ વાત કરી હતી. મંદિરે બે ગઠિયાઓ આવ્યા હતાગઠિયાએ અમરતભાઇને કહ્યું હતું કે અમે સવારના સમયે સુરતથી પાંચ વ્યક્તીઓ આવવાના છીએ. અને બીજા ત્રણ વ્યક્તી બાપુનગરથી આવવાના છે. જેથી અમારી રસોઇ બજાવજો. ગઠિયાના કહેવાથી અમરતભાઇએ સોનાનો હાર મંગાવીને રાખ્યો હતો. 21મી ડિસેમ્બરના સવારના સાડા નવ વાગ્યાની આસપાસ ગઠિયાએ ફોન કરીને તેઓ અમદાવાદ આવી ગયા હોવાનું કહેતા અમરતભાઇએ તેઓને મંદિરમાં આવવાનું કહ્યું હતું. જેથી બે ગઠિયાઓ આવ્યા હતાં. અને પુજ્ય સેવા સ્વામીને મળ્યા બાદ તેઓને પુજા વિધીમાં પણ બેસાડ્યા હતાં. સ્વામીએ તેમનું નામ પૂછતા ગઠિયાએ પોતાનું નામ ગોપાલભાઇ હોવાનું જણાવ્યું હતું. સોનાનો હાર પત્નીને બતાવીને આવવાનું કહ્યુંબાદમાં ગઠિયાએ સોનાના હારનું પેમેન્ટ કરવું હોવાનું કહીને એક્સિસ બેંકનો રૂપીયા 6 લાખ 51 હજારનો ચેક પણ જમા કરાવીને રસીદ મેળવી હતી. અને તેની સાથે તેમની પત્ની પણ આવી હોવાથી સોનાનો હાર પત્નીને બતાવીને આવવાનું કહ્યું હતું. જો કે આ સમયે સેવા સ્વામી પણ તેમની સાથે હતાં. ફોન સ્વીચઓફ આવતા છેતરપિંડી થઇ હોવાની જાણ પરંતુ ગઠિયાએ સ્વામીને કહ્યું હતું કે બાપુનગરથી જે ત્રણ વ્યક્તિઓ આવવાના હતાં.તેમની ગાડીને અકસ્માત થયો છે. અમે ત્યાં જઇને આવીએ છીએ તેમ કહેતા સ્વામી ભગવાનને થાળ ધરાવવાની વિધીમાં રોકાઇ ગયા હતાં. થોડા સમય બાદ આ બંન્ને ગઠિયાઓ પરત ના આવતા ફરીયાદીએ તેઓને ફોન કર્યો હતો. પરંતુ ફોન પણ સ્વીચઓફ આવતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી. જે બાબતની જાણ પોલીસને કરતા વાસણા પોલીસએ હાલમાં ફરીયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વાંકાનેર ખાતે આજથી ત્રિદિવસીય 17માં ‘અશ્વ કામા રમતોત્સવ’ અને પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે મંત્રીએ રાજ્યમાં અશ્વપાલનને વેગ આપવા માટે વર્ષમાં ત્રણ વાર અશ્વ કામા રમતોત્સવ યોજવાની તથા નવું બ્રિડિંગ ફાર્મ સ્થાપવાની મહત્વની જાહેરાત કરી હતી. દરમિાયન અશ્વ શણગાર સ્પર્ધામાં નિર્ણાયકોએ સાળંગપુરની 'શુભલક્ષ્મી' નામની ઘોડીને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરી હતી. ગુજરાત અને રાજસ્થાનના 250 અશ્વોની જમાવટઆ પ્રદર્શનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાનમાંથી આશરે 250 જેટલા અશ્વોએ ભાગ લીધો છે. કુલ 300 જેટલી એન્ટ્રીઓ નોંધાઈ હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે 'અશ્વ શણગાર સ્પર્ધા' આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં અશ્વપાલકોએ પોતાના અશ્વોને પરંપરાગત આભૂષણો અને વસ્ત્રોથી સજાવ્યા હતા. સાળંગપુરની 'શુભલક્ષ્મી' ઘોડી પ્રથમઅશ્વ શણગાર સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા ઝીણવટભરી ચકાસણી બાદ સાળંગપુરના વિશ્વજીતસિંહ ખાચરની 'શુભલક્ષ્મી' નામની ઘોડીને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. વિજેતા અશ્વપાલકને ₹15,000 રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિડિંગ ફાર્મ અને અશ્વ સંવર્ધન પર ભારઉદ્ઘાટન પ્રવચનમાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં વર્ષમાં એક જ વાર કામા રમતોત્સવ યોજાતો હતો, પરંતુ હવેથી વર્ષમાં ત્રણ વખત આવા શોનું આયોજન કરવામાં આવશે. વધુમાં, કાઠિયાવાડી નસલના અશ્વોના સંવર્ધન માટે વધુ એક નવું બ્રિડિંગ ફાર્મ શરૂ કરવાની પણ તેમણે ખાતરી આપી હતી. મહાનુભાવોની ઉપસ્થિતિ અને પુસ્તક વિમોચનઆ પ્રસંગે રાજ્યમંત્રી રીવાબા જાડેજા, રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, કામા અશ્વ સોસાયટીના ચેરમેન ઘનશ્યામ આચાર્ય તથા વાઇસ ચેરમેન સત્યજિતસિંહ ખાચર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કાઠિયાવાડી અશ્વની વિશેષતાઓ દર્શાવતા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ અને ટુરિઝમ વિભાગના સંયુક્ત સહયોગથી યોજવામાં આવ્યો છે.
અમદાવાદ રેલવે ડિવિઝનના પોલીસ અધિક્ષક યશપાલ જગાનિયાએ આજે જામનગર રેલવે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેઓ ઈન્સ્પેકશન અને નિરીક્ષણ માટે જામનગર આવ્યા હતા. તેમના આગમન બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અધિક્ષકે જામનગર રેલવે સ્ટેશન પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદ રેલવે ડિવિઝન હેઠળ સાબરમતી, રાધનપુર, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ધોળા, ભાવનગર, જેતલસર, જૂનાગઢ, ગાંધીધામ, દેવભૂમિ દ્વારકા અને વાંકાનેર સહિત કુલ 12 જેટલા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. નવા વર્ષની ઉજવણીના સંદર્ભમાં દારૂની હેરફેર સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે તેમણે કડક સૂચનાઓ આપી હતી.
નવસારીના લુન્સીકુઈ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને ભારતીય રાજનીતિના મહાનાયકોની સફરને પ્રદર્શિત કરતું એક વિશેષ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ સહિત પ્રદેશ મંત્રી શીતલબેન અશોકભાઈ અને મંડળ પ્રમુખ વિજયભાઈ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું. આ પ્રદર્શનમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના ઐતિહાસિક નિર્ણયો અને તેમના દ્વારા નાખવામાં આવેલા મજબૂત પાયાને જીવંત કરવામાં આવ્યો છે. વક્તાઓએ પોખરણ પરમાણુ પરીક્ષણ, કારગિલ વિજય અને સુવર્ણ ચતુર્ભુજ માર્ગ યોજના જેવા સીમાચિહ્નરૂપ કાર્યોને યાદ કર્યા હતા, જે આધુનિક ભારતના શાસનનો આધાર બન્યા. આજે એ જ પાયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મજબૂત સુશાસનનું નિર્માણ કરી રહ્યા છે. પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વર્તમાન સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનો 8.2% ના દરે વૃદ્ધિ પામતો GDP, સામાન્ય જનતાની સુવિધા માટે GST સ્લેબમાં કરાયેલા સરળ ફેરફારો અને 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ₹5 લાખ સુધીનું મફત વીમા કવચ પૂરું પાડવાના નિર્ણયોનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં દેશના નેતાઓના જન્મથી લઈને વડાપ્રધાન પદ સુધીની તેમની સંઘર્ષમય અને પ્રેરણાદાયી યાત્રાને તસવીરો અને માહિતી દ્વારા રજૂ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન માત્ર માહિતી માટે જ નહીં, પરંતુ નવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે નવસારીના તમામ નાગરિકો અને ખાસ કરીને શાળાના બાળકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અને રાષ્ટ્રનિર્માણની આ યાત્રાને સમજવા વિનંતી કરી હતી. નવસારી જિલ્લાના રહેવાસીઓને લુન્સીકુઈ ખાતે આ પ્રદર્શનનો લાભ લેવા અને દેશના વિકાસની ગાથાને નજીકથી નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઇપ 1 ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ હવે બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોગ્રામ પાછળ ગુજરાતના વિસનગરના જોષી પરિવારની આઠ વર્ષની મહેનત છે. પરિવારની બે દીકરીઓએ ડૉ. સ્મિતા જોષી તથા ડૉ. શુક્લાબેન રાવલે ગુજરાત જ નહીં, ભારતભરના ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન સહિતની સારવાર મળે તે માટેનું બીડું ઝડપ્યું છે. આ પ્રોગ્રામ હેઠળ રાજ્યભરના બાળકોને ફ્રી ઈન્સ્યુલિન ઉપરાંત ફ્રી ગ્લુકોમીટર, ફ્રી સ્ટ્રીપ્સ, ફ્રી કીટોન સ્ટ્રીપ્સ, ફ્રી લેબોરેટરી ટેસ્ટ, ફ્રી મેડિકલ ચેકઅપ ફોર કોમ્પલીકેશન્સ વગેરે ગુજરાત રાજ્ ની તમામ સરકારી જિલ્લા હોસ્પિટલમાં તથા મેડિકલ કોલેજ હોસ્પિટલ માં વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડૉ. સ્મિતાબેન તથા ડૉ. શુક્લાબેને શરૂઆત મહેસાણા જિલ્લાથી કરી. તેમણે મહેસાણા જિલ્લામાં બાળકોને ગ્લુકોમીટર, સ્ટ્રીપ્સ, ઈન્સ્યુલિન વગેરે પહોંચાડી, એમના ફ્રી લેબોરેટરી બ્લડ ટેસ્ટ, કીડની ની તપાસ, આંખોની તપાસ સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપી. આ ઉપરાંત તેમણે સમાજમાં ટાઇપ 1 ડાયાબિટીસ પ્રત્યે જનજાગૃત્તિ આવે તે માટે ભારતભરમાં સ્વ ખર્ચે કાર યાત્રા કરી. અમેરિકામાં પણ આ આ રીતની કાર યાત્રા કરીને ટાઇપ 1 ડાયાબિટીસ પ્રત્યે અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકામાં 2023માં ટાઇપ-૧ ડાયાબિટીસ અવેરનેસ મીટ એન્ડ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિઃશુલ્ક સારવાર મળે તે માટે બંને જોષી સિસ્ટર્સે ભારત તથા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. સતત છ વર્ષ સુધી પ્રયાસો કર્યા. તેમણે અનેકવાર દિલ્હીના ઉચ્ચ અધિકારીઓને મળ્યા. આ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે સરકાર NCD (નોન કમ્યુનિકેબલ ડિસિસિ)થી એક પ્રોગ્રામ ચલાવે છે. આ પ્રોગ્રામમાં 30 વર્ષથી ઉપરના વયના લોકોને ડાયાબિટીસ થયો હોય તો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય બાળક સુરક્ષા કાર્યક્રમમાં નાના ઉંમરના બાળકોનો સમાવેશ થતો નહોતો. શાળા આરોગ્ય કાર્યક્રમમાં પણ ડાયાબિટીસ ધરાવતા બાળકો સામેલ નહોતા. સતત પ્રયાસો બાદ ગુજરાત સરકારે 2023-24માં ડાયાબિટીસ બાળકો માટે 13 કરોડ 88 લાખ રૂપિયા ફાળવ્યા અને તેમાંથી ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને મફતમાં ઇન્સ્યૂલિન મળશે તે નિર્ણય લેવામાં આવ્યો. અમેરિકાના ભારતીય મૂળના એસોસિયેશને 28 નવેમ્બરને ટાઇપ 1 ડાયાબિટીસ દિવસ જાહેર કર્યો છે. જાન્યુઆરી, 2024માં ડૉ. સ્મિતા તથા ડૉ. શુક્લાને દિલ્હીમાં નીતિ આયોગે દેશના 8 લાખ ટાઇપ 1 ડાયાબિટીસ બાળકો માટે નેશનલ ડ્રાફ્ટ બનાવવાની પ્રપોઝલ મૂકી. ત્યારબાદ તેમના ડૉ. રાજ તથા ડૉ. મને આ ડ્રાફ્ટ બનાવ્યો અને 22 જાન્યુઆરી, 2024એ આ ડ્રાફ્ટ નીતિ આયોગમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આજે, 26 ડિસેમ્બરે, દેશભરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના બલિદાનની યાદમાં મનાવવામાં આવે છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બીબીએ ભવન ખાતે આ નિમિત્તે બંને વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે યુવાનોને દેશભક્તિ માટે પ્રેરિત કરતું વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, બાબા જોરાવરસિંહ (8 વર્ષ) અને બાબા ફતેહસિંહ (6 વર્ષ) મુઘલ શાસકો સામે ધર્મ પરિવર્તન ન કરતા દીવાલમાં ચણાઈને શહીદ થયા હતા. તેમણે યુવાનોને દેશ માટે યોગદાન આપવા અને ભારતને ફરીથી પરમ વૈભવ સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપી. સિંધવે શીખ ગુરુ પરંપરાના બલિદાનોના પ્રેરણાદાયી પ્રસંગો પણ રજૂ કર્યા. હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો. કે.કે. પટેલે પણ યુવાનોને પ્રેરણા આપી અને વીર બાળ દિવસની ઉજવણીને પ્રોત્સાહન આપ્યું. તેમણે સરકારની સ્ટાર્ટઅપ અને મેક ઇન ઇન્ડિયા જેવી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો, જે યુવાનોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આવી ઉજવણી યુવાનો માટે ચોક્કસપણે પ્રેરણાદાયી બની રહેશે તેમ તેમણે ઉમેર્યું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, દિલીપ જોશી સહિત વિભાગના અધ્યાપકો, અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાંધકામ સાઇટ પરથી લોખંડના સળિયા ચોરતી એક ગેંગના ત્રણ સભ્યોને દસેરા ટેકરી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ ગેંગના એક આરોપી સામે અગાઉ 27 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 6500ની કિંમતના 130 કિલો સળિયા જપ્ત કર્યા છે. LCB નવસારીનો સ્ટાફ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન અને વિજયને મળેલી ગુપ્ત બાતમીના આધારે દસેરા ટેકરી સરકારી વસાહત પાસેથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને કોર્ડન કરવામાં આવ્યા હતા. તેમની તલાશી લેતા, પ્લાસ્ટિકની નવ થેલીઓમાંથી કુલ 130 કિલો લોખંડના સળિયા મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પ્રકાશ નાગજીભાઈ પટેલ (રહે. ગોલવાડ, નવસારી), પ્રહલાદ નટવરભાઈ દંતાણી (રહે. શહીદ ચોક, નવસારી) અને કમલેશ વિરજીભાઈ દેવીપુજક (રહે. શહીદ ચોક, નવસારી) નો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેમણે 23 અને 24 ડિસેમ્બર, 2025ની રાત્રિ દરમિયાન નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ સામે આવેલી પુષ્પક સોસાયટીમાં ચાલતા નવા મકાનના બાંધકામ સાઇટ પરથી આ સળિયાની ચોરી કરી હતી. આ મામલે નવસારી ટાઉન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રહલાદ દંતાણી રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ નવસારી ટાઉન, રૂરલ, વલસાડ રેલ્વે, સુરત રેલ્વે, અમદાવાદ અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનોમાં ચોરી, ઘરફોડ ચોરી, છેતરપિંડી અને અટકાયતી પગલાં સહિત કુલ 27 ગુના નોંધાયેલા છે. અન્ય બે આરોપીઓ પ્રકાશ પટેલ અને કમલેશ દેવીપુજક વિરુદ્ધ પણ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ છૂટક કડિયાકામ અને મજૂરી સાથે સંકળાયેલા હોવાથી દિવસ દરમિયાન બાંધકામ સાઇટ્સની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના અંધકારનો લાભ લઈને લોખંડના સળિયાની ચોરી કરી તેને વેચીને આર્થિક લાભ મેળવતા હતા.
રાજકોટમાં આજી નદી કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સરકારી જમીન પરના દબાણો હટાવવા આપવામાં આવેલી નોટિસો સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસની આગેવાનીમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પ્રદેશ નેતા ઇન્દ્રવિજયસિંહ, કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને માંગ કરી છે કે, વર્ષોથી રહેતા ગરીબ પરિવારોને બેઘર ન કરવા સમય આપીને આધાર-પુરાવા ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. કોંગ્રેસનો આરોપ છે કે, રિવરફ્રન્ટના નામે ગરીબોના મકાન તોડવાનો કારસો ઘડવામાં આવ્યો છે. વર્ષોથી રહેતા ગરીબ પરિવારો રિવરફ્રન્ટના વિકાસના કારણે બેઘર ન બને એવી કાળજી રાખી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ જ્યાં લોકોને નોટિસ આપવામાં આવી છે ત્યાં વિસ્તારવાસીઓને સાથે રાખી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક લોકો જોડાયા છે.
સુરતના આઝાદનગરની રહેવાસી જાહેદા માટે શિક્ષક બનવું એ માત્ર એક નોકરી નહીં, પણ તેના જીવનનું સૌથી મોટું સપનું હતું. ધોરણ 12 પાસ કર્યા બાદ તેણે પૂરા ઉત્સાહ સાથે ટીચિંગનો ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યો હતો. જેથી તે સમાજમાં એક આદરણીય શિક્ષિકા તરીકે ઓળખ બનાવી શકે. જોકે, આ જ સપનું તેની જિંદગી માટે જીવલેણ સાબિત થશે તેવી કોઈને કલ્પના નહોતી. શિક્ષક બનવા માટેની અનિવાર્ય એવી TET પરીક્ષા તેના માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગઈ હતી. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં 25 ડિસેમ્બરે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતાં માસૂમ દીકરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. TETની પરીક્ષા આપ્યા છતાં તે પાસ થઈ શકી નહોતી: સંબંધીસુરતના આઝાદનગરમાં રહેતી જાહેદાએ તેના બે વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી તે પાછળનું મુખ્ય કારણ શિક્ષક ન બની શકવાનો વસવસો હતો. આ હૃદયદ્રાવક ઘટના બાદ તેના સંબંધી મોહમ્મદ શિરજુદ્દુલે મીડિયા સમક્ષ ભાવુક થઈને જણાવ્યું હતું કે, 'તે બિહારથી જ ખૂબ મોટા સપના લઈને આવી હતી. તેણે ધોરણ 12 પછી ટીચિંગમાં ડિપ્લોમા કર્યું હતું કારણ કે તેને શિક્ષક બનવું હતું, પરંતુ બિહારમાં બે વખત TETની પરીક્ષા આપ્યા છતાં તે પાસ થઈ શકી નહોતી, જેના કારણે તે અંદરથી તૂટી ગઈ હતી.' આ પણ વાંચો: બે વર્ષના પુત્ર સાથે માતાએ ઘરથી દોઢ કિમી દૂર હાઈરાઇઝ બિલ્ડિંગથી કૂદી આપઘાત કર્યો 'સાથીઓને સફળ થતાં જોઈ પોતે ડિપ્રેશનમાં આવી ગઈ હતી'શિરજુદ્દુલે વધુમાં ઉમેર્યું કે, જાહેદાના ડિપ્રેશનનું એક મોટું કારણ સામાજિક સરખામણી હતી. તેની સાથે ભણનારા જેટલા પણ સાથીદારો હતા, તેઓ TETની એક્ઝામ પાસ કરી ચૂક્યા હતા. પોતાના સાથીઓને સફળ થતા જોઈ તે વધારે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જ્યારે પોતાની આસપાસના લોકો આગળ વધી જાય અને પોતે મહેનત કરવા છતાં નિષ્ફળ રહે, ત્યારે તે માનસિક વેદના જાહેદા માટે અસહ્ય બની ગઈ હતી. આ સરખામણી તેને સતત પોતાની નજરમાં નાની પાડી રહી હતી. 'નકારાત્મક પરિણામથી આત્મવિશ્વાસને ઊંડો આઘાત લાગ્યો'જાહેદાએ શિક્ષિકા બનવાના પોતાના ધ્યેયને વળગી રહીને બિહારમાં બે વખત TETની પરીક્ષા આપી હતી. ખૂબ જ મહેનત કરવા છતાં જ્યારે બંને વખત પરિણામ નકારાત્મક આવ્યું, ત્યારે તેના આત્મવિશ્વાસને ઊંડો આઘાત લાગ્યો હતો. એક તેજસ્વી કારકિર્દી બનાવવાની તેની મહેચ્છા પરીક્ષાના પરિણામોમાં ગુંચવાઈ ગઈ હતી. નિષ્ફળતાના આ ભાર નીચે તે ધીમે-ધીમે ડિપ્રેશનમાં ધકેલાતી ગઈ, અને તેના મનમાં એ વાત ઘર કરી ગઈ કે તે ક્યારેય શિક્ષક નહીં બની શકે. અંતે, શિક્ષક ન બની શકવાનો આ મનોભર એટલો વધી ગયો કે તેણે પોતાના 2 વર્ષના માસૂમ પુત્ર સાથે 14મા માળેથી મોતની છલાંગ લગાવી દીધી. આ ઘટના એવા હજારો યુવાનો માટે એક ચેતવણી છે જેઓ કોઈ એક પરીક્ષા કે કારકિર્દીને જ જીવનનો અંત માની લે છે. જાહેદાનું શિક્ષક બનવાનું સપનું અધૂરું રહી ગયું, પરંતુ તેની પાછળ તે એક એવો પ્રશ્ન છોડી ગઈ કે
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારો, હત્યાઓ અને અરાજકતાની સ્થિતિને પગલે સુરતના કાપડ ઉદ્યોગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત હવે બાંગ્લાદેશ સાથેના તમામ વ્યાપારી સંબંધો તોડવાનો ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA) દ્વારા સત્તાવાર રીતે આહવાન કરવામાં આવ્યું છે. તેના પ્રમુખે કહ્યું કે, જે દેશમાં હિન્દુ સંસ્કૃતિનું અપમાન થતું હોય તેની સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરવામાં આવશે નહીં. દર વર્ષે બાંગ્લાદેશ સાથે 1000 કરોડનો વેપાર થતો બંધ થશે?સુરતનો કાપડ ઉદ્યોગ દર વર્ષે બાંગ્લાદેશ સાથે આશરે 1000 કરોડથી વધુનો સીધો વેપાર કરે છે. જોકે, વર્તમાન પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વિશાળ આર્થિક હિતોને બાજુ પર મૂકીને વેપારીઓએ રાષ્ટ્રવાદ અને ધર્મના રક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે, ભારતીયતા અને સનાતન સંસ્કૃતિને લલકારનાર કોઈપણ શક્તિ સામે સુરતનો વેપારી ઝૂકશે નહીં અને આર્થિક નુકસાન વેઠીને પણ વેપાર બંધ રાખશે. 100 કરોડથી વધુનું પેમેન્ટ હાલમાં અટવાયેલુંબાંગ્લાદેશમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે સુરતના વેપારીઓના અંદાજે 100 કરોડથી વધુનું પેમેન્ટ હાલમાં અટવાયેલું છે. પેમેન્ટ અટવાયું હોવા છતાં વેપારીઓનો નિર્ણય મક્કમ છે. વેપારીઓનું માનવું છે કે રૂપિયા કરતા માનવીય મૂલ્યો અને પોતાની આસ્થાનું સન્માન વધુ મહત્ત્વનું છે. આથી જ, આર્થિક જોખમ હોવા છતાં બાંગ્લાદેશ સરકારને પાઠ ભણાવવા માટે સુરતના કાપડ બજારોએ નિકાસ અટકાવવાનો કડક નિર્ણય લીધો છે. 40 ટેક્સટાઇલ માર્કેટો 17 હજાર વેપારીઓ આ બહિષ્કારના આહવાનમાં જોડાયાસુરતમાં આવેલી કુલ 240 જેટલી ટેક્સટાઇલ માર્કેટો અને તેની સાથે સંકળાયેલા અંદાજે 17,000થી વધુ વેપારીઓ આ બહિષ્કારના આહવાનમાં જોડાયા છે. ફોસ્ટા દ્વારા તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત ન થાય અને અત્યાચારો બંધ ન થાય, ત્યાં સુધી કોઈએ પણ નવા ઓર્ડર લેવા નહીં કે માલની સપ્લાય કરવી નહીં. આ નિર્ણયને કારણે બાંગ્લાદેશના ગારમેન્ટ ઉદ્યોગને મોટી અસર થવાની શક્યતા છે, કારણ કે તે સુરતના કાપડ પર નિર્ભર છે. પ્રિન્ટેડ અને ડાઈડ ગારમેન્ટ ફેબ્રિકની બાંગ્લાદેશમાં નિકાસબાંગ્લાદેશનો ટેક્સટાઇલ ઉદ્યોગ કાચા માલ અને ફિનિશ્ડ ફેબ્રિક માટે મોટાભાગે સુરત પર આધાર રાખે છે. સુરતથી મોટા પાયે પ્રિન્ટેડ અને ડાઈડ ગારમેન્ટ ફેબ્રિકની નિકાસ થાય છે. વેપારીઓનું કહેવું છે કે જો આપણે આપણો માલ આપવાનું બંધ કરીશું, તો ત્યાંના ઉદ્યોગ પર તેની સીધી અસર પડશે. જે સુરતના વેપારીઓ બાંગ્લાદેશની સરકાર અને ત્યાંના કટ્ટરપંથી તત્વોને પર આ એક પ્રકારનો આર્થિક તમાચો છે. આ પણ વાંચો: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 200 કરોડનો ફટકો:પોંગલના 1000 કરોડના વેપાર પર સંકટ, દક્ષિણ ભારતમાં 'દિતવાહ' વાવાઝોડાથી વેપારીઓની હાલત કફોડી 'પહેલા દેશ અને ધર્મ, પછી વેપાર'ના સૂત્ર સાથે સુરતના વેપારીઓ એકજૂટ અંતમાં, સુરતના વેપારી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, ભારતની અસ્મિતા અને હિન્દુ સમાજની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. 'પહેલા દેશ અને ધર્મ, પછી વેપાર'ના સૂત્ર સાથે સુરતના વેપારીઓ એકજૂટ થયા છે. આ ઐતિહાસિક નિર્ણય આગામી દિવસોમાં ભારત-બાંગ્લાદેશના વ્યાપારી સમીકરણો પર મોટી અસર કરી શકે છે, પરંતુ સુરતનો વેપારી અત્યારે માત્ર ન્યાય અને સન્માનની માંગ કરી રહ્યો છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટ બની ધોબીઘાટ!: હજારો સાડીઓ સૂકવવા દોરી-પંખા લગાવ્યાં, કિલોના ભાવે માલ વેચવો પડે એવી સ્થિતિ, ખાડીપૂરથી મોટા નુકસાનની સ્થિતિ સુરતમાં ખાડીપૂરને કારણે સૌથી વધુ નુકસાની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને થયું. એક અંદાજ પ્રમાણે, 1000 કરોડથી વધુની નુકસાનીનો સામનો વેપારીઓને કરવો પડ્યો. ખાડીપૂરનાં પાણી રઘુકુળ માર્કેટમાં પણ ઘૂસી ગયાં હતાં અને રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ ધોબીઘાટ બની ગઈ હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર) કાપડ ઉદ્યોગને મોટો ફટકો:‘ટ્રમ્પના ટેરિફ બાદ MEG પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગશે તો કાપડ ઉદ્યોગને મોટો ફટકો’ ‘ટ્રમ્પના ટેરિફ બાદ MEG પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગશે તો કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડશે’. ચેમ્બરના ઉપ્રમુખ અશોક જીરાવાલા અને પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી સહિત પ્રતિનિધિમંડળે દિલ્હી ખાતે નીતિ આયોગના પ્રોગ્રામ ડિરેકટર અને લિંક સીવીઓ અને પીએમ એડવાઇઝરી ટીમના સભ્ય સંજીત સિંહને રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર)
પેટલાદ તાલુકાના નાર સ્થિત ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ ખાતે સવિતાબેન બચુભાઈ બ્રહ્મભટ્ટ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં બે દિવસીય સ્પોર્ટ્સ મીટ-2025નું સફળ આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવમાં સહજાનંદ હાઉસે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓએ ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, રિલે રેસ, ટગ ઓફ વોર અને ટેનિસ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહ અને ખેલભાવના સાથે ભાગ લીધો હતો. તેમણે પોતાની પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આ રમતોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત, સહકાર, ટીમ વર્ક, આત્મવિશ્વાસ અને ખેલભાવનાનો વિકાસ થયો. આ ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમોએ તેમની કલાત્મક ક્ષમતાઓને ઉજાગર કરી કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો. કાર્યક્રમમાં પિયુષભાઈ પટેલ (યુ.એસ.એ), નારાયણભાઈ મજેવાડીયા (યુ.કે), ચંદ્રકાંતભાઈ પટેલ (યુકે), અમિતભાઈ પટેલ (યુ.એ.ઈ) તથા પ્રફુલભાઈ પટેલ (યુ.કે) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂ શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને હરિકૃષ્ણદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી પ્રગતિ, અનુશાસન અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપી. ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ માટે સ્પોર્ટ્સ મીટ-2025 રમત, સંસ્કાર અને સર્વાંગી વિકાસનો એક યાદગાર ઉત્સવ બની રહ્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના લોયાધામ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મુક્તમુનિ મહોત્સવ સદગુરુ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં બાળક શું બનશે તેના કરતાં તે કેવું બનશે તે વધુ મહત્ત્વનું છે. તેમણે શિક્ષણ અને સંસ્કારના સમન્વય પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, નવી પેઢીના ઘડતર માટે શિક્ષણની સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન અનિવાર્ય છે. નવી શિક્ષણ નીતિ દ્વારા ટેકનોલોજી, સંસ્કૃતિ અને તત્વજ્ઞાનના ત્રિવેણી સંગમ થકી યોગ, ભક્તિ અને આયુર્વેદ જેવા ભારતીય મૂલ્યો જાળવી રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો. સ્ત્રી સશક્તિકરણ અંગે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ હવે માત્ર 'મહિલા વિકાસ' નહીં, પરંતુ 'મહિલાઓના નેતૃત્વમાં વિકાસ'ના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. તેમણે રાણી લક્ષ્મીબાઈ અને અહલ્યાબાઈ હોલકર જેવા ઐતિહાસિક પાત્રોના ઉદાહરણો આપી ભારતના નારી શક્તિના ગૌરવશાળી ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. સરકારી યોજનાઓ જેવી કે 'વહાલી દીકરી', 'લખપતિ દીદી' અને 'ડ્રોન દીદી'નો ઉલ્લેખ કરીને તેમણે માતૃશક્તિને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બાળકોમાં વધતા મોબાઈલના વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરતા મંત્રીએ વાલીઓને ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે બાળકોને માત્ર શિખામણ આપવાને બદલે માતા-પિતાએ પોતાનું આચરણ પ્રભાવશાળી બનાવવું જોઈએ, કારણ કે બાળક ઉપદેશ કરતાં અનુકરણથી વધુ શીખે છે. ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરી બાળકોને શારીરિક-માનસિક રીતે સુપોષિત કરવા અને વ્યસનમુક્તિ તરફ વાળવા એ આપણી નૈતિક જવાબદારી છે. તેમણે લોયાધામના કાર્યોની પ્રશંસા કરી રાષ્ટ્રહિતની ભાવના સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું. આ મહોત્સવમાં પાળીયાદ વિસામણબાપુની જગ્યાના મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, અગ્રણી રાજભા ઝાલા, અભયસિંહ રાઠોડ સહિત અનેક મહાનુભાવો, સાંખ્યયોગી બહેનો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સંગમ ચાર રસ્તા પાસે આવેલા બસ સ્ટેશન પાછળ ફૂટપાથ પરથી અજાણ્યા 60 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બસ સ્ટેશન પાછળ ફૂટપાથ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યોશહેરના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સંગમ ચાર રસ્તા પાસે બસ સ્ટેશન પાછળ ફૂટપાથ પરથી 60 વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ સ્થાનિકને મળ્યો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડ્યો હતો. પી.એમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશેઆ બનાવ અંગે વારસિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં આ અજાણ્યા પુરુષના મૃતદેહને સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે. વારસિયા પોલીસે આ અજાણ્યા પુરુષનો વાલી વારસ કોણ છે. કયા કારણોસર મૃત્યુ થયું તે બાબતે તપાસ હાથ ધરી છે. આ અજાણ્યા પુરુષનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે. હાલમાં આ અજાણ્યો પુરુષ ભિક્ષુક હોય તેવો પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
વડોદરા જિલ્લામા હાલ મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી નો પ્રથમ તબક્કો પૂર્ણ થયેલ છે અને મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ તા.19 ડિસેમ્બર 2025 ના રોજ પ્રસિધ્ધ થયેલ છે. હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરી શકાશેબીજા તબક્કામા હક્ક દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.19 ડિસેમ્બર 2025 (શુક્રવાર)થી તા.18 જાન્યુઆરી 2026 (રવિવાર) તેમજ નોટીસ (નોટીસ ઇસ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવો તા.19 ડિસેમ્બર 2025(શુક્રવાર)થી તા.10 ફેબ્રુઆરી 2026 (મંગળવાર) સુધી કામગીરી થનાર છે. જે અન્વયે વડોદરા જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારના મતદાન મથક(બૂથ)પર વિશેષ કેમ્પનું આયોજન તા.27 ડિસેમ્બર, 2025 (શનિવાર), તા.28 ડિસેમ્બર, 2025 (રવિવાર), તા.03 જાન્યુઆરી 2026 (શનિવાર) અને તા.4 જાન્યુઆરી 2026 (રવિવાર) ના રોજ કરવામાં આવેલ છે, જ્યાં બી.એલ.ઓ. સવારે 10 ક્લાકથી સાંજના 5 કલાક સુધી હાજર રહેશે અને તેઓ દ્વારા નીચે જણાવેલ કામગીરી કરવામા આવનાર છે. (1 મુસદ્દા મતદારયાદીમાં નામ છે કે નહિં તેની ચકાસણીની કામગીરી (2) “No Mapping” અને “Uncollectable” ના કિસ્સામાં જરૂરી આધાર પુરાવા સ્વીકારવાની કામગીરી (3)મુસદ્દા મતદારયાદીમા નામ ન હોય તે કિસ્સામા ફોર્મ-6(ડીક્લેરેશન સાથે) ભરાવવાની કામગીરી (4) ફોર્મ-૬(નામ દાખલ કરવા), ફોર્મ-7(નામ કમી કરવા),ફોર્મ-8(સુધાર વધારા)ના ફોર્મ સ્વીકારવાની કામગીરી (5) જો આપની ઉંમર તા.01/01/2026 ના રોજ 18 વર્ષ કે તેથી વધું થતી હોય તો ફોર્મ-૬ ભરાવવાની કામગીરી આ ઉપરાંત જો મતદારને મતદારયાદી સબંધિત મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન બી.એલ.ઓ.દ્વારા આપવામા આવશે. 45 કલેક્શન અને ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર શરૂ કરાયાવધુમા વડોદરા જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં મતદારોને ફોર્મ-6,ફોર્મ-7 અને ફોર્મ-8 મેળવવા અને જમા કરાવવામાં તકલીફ ન પડે તે હેતુથી કુલ 45 કલેક્શન અને ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે,જ્યાં મતદાર જાહેર રજા સિવાયના વર્કીંગ દિવસોમા,ઓફિસ સમય દરમ્યાન ફોર્મ મેળવી તેમજ જમા કરાવી શકશે તેમજ ઓનલાઇન voters.eci.gov.in પર પણ ફોર્મ ભરી શકાશે. ઉપરોક્ત વિશેષ કેમ્પ તેમજ કલેક્શન અને ડીસ્ટ્રીબ્યુશન સેન્ટરનો લાભ લેવા તમામ મતદારોને જિલ્લા વહીવટી તંત્ર વદોદરા તરફથી અપીલ કરવામા આવે છે.
આશ્રમ રોડ પર નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે આજે (26 ડિસેમ્બર) 'CAWACH' અંતર્ગત ઈન્ટર કોલેજ કોલાજ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના માનનીય નિર્ણાયક તરીકે સી. સી. સેઠ કોમર્સ કોલેજના આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસર દિપ્તી ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના પ્રદર્શનની પ્રશંસા કરી અને તેમને ભવિષ્ય માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. રોનક રાણા, ડૉ. માર્ગી દેસાઈ અને ડૉ. જનક કવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ થયું હતું. સમગ્ર સ્પર્ધા શૈક્ષણિક ગુણવત્તા, ઉત્સાહ અને શિસ્તપૂર્ણ વાતાવરણ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
ભાવનગર મહાનગર પાલિકાની દબાણ વિભાગની ટિમ દ્વારા આજરોજ શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ પશુ દવાખાના પાસે રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં આવેલા, જેના પગલે અવાર-નવાર ટ્રાફિક સમસ્યા થતી હતી, જેમાં સ્થાનિકો દ્વારા મનપાના દબાણ વિભાગને અવાર-નવાર ફરિયાદો કરવામાં આવી હતી. ત્યારે આજરોજ દબાણ ટીમ દ્વારા રોડ ઉપર પાર્ક કરેલ રીક્ષા, લોડિંગ રીક્ષા સહિત 5થી વધુ વાહનોને લોક કરવામાં આવ્યા છે, અને વાહનોને લોક કરી દંડ વસુલવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવાપરા વિસ્તારમાંથી ટ્રાફિક દૂર કરવાની કાર્યવાહીઆ અંગે દબાણ વિભાગના ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, શહેરના નવાપરા વિસ્તારમાં અવારનવાર ટ્રાફિકની અનેક વખત ફરિયાદ આવતી હોવાથી પશુ દવાખાનાની આજુબાજુમાં આસ-પાસના લોકો લાંબા સમયથી વાહનો પાર્ક કરી અને જતા રહેતા હોય છે. જ્યારે આજરોજ વાહનોને લોક કરી દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંચથી સાત જેટલા વાહનોને લોક કરી દંડ વસૂલ્યોતેને વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં પાંચથી સાત જેટલા વાહનોને લોક કરી દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે. અને આગામી સમયમાં જે પણ ટ્રાફિક વાળા વિસ્તારો છે, કાળુભા રોડ, નવાપરા ના બીજા વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિક મુક્ત કરવા માટે રોડ રસ્તા ખુલ્લા રાખવા માટે ભાવનગર મહાનગરપાલિકાની દબાણ સેલ દ્વારા ટ્રાફિક મુક્ત કરવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવશે.
વડોદરા શહેરમાં વર્ષ 2017થી ચાલતી સિટી બસ સેવા હવે ટૂંક સમયમાં બંધ થાય તો નવાઈ નહીં. કારણ કે આ બસ સેવા માટે સ્માર્ટ સિટી દ્વારા નવેમ્બરથી મહિનાના બિલ આ એજન્સીને ચૂકવવામાં આવ્યા નથી. અંદાજિત 3 કરોડ ઉપરાંતની રકમ ન ચૂકવતા વિનાયક લોજેસ્ટિક આ સેવા આગામી 1 જાન્યુઆરી બંધ કરે તો નવાઈ નહીં. વિનાયક લોજેસ્ટિકના મેનેજરે સ્પષ્ટ કહ્યું છે કે જો બિલ નહિ ચૂકવાય તો સીટી બસ સેવા બંધ કરી દઈશું. ત્યારે આ અંગે સ્માર્ટ સિટીના જવાબદાર અધિકારી દ્વારા નોટિસનો જવાબ યોગ્ય રીતે અપાય છે કે પછી રોજે બરોજ 80 હજારથી વધુ મુસાફરી કરતા મુસાફરો અટવાય છે તે તો આવનાર સમય બતાવશે. આ અંગે વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્ર રાણાએ જણાવ્યું હતું કે, અમારી વિનાયક સિટી બસ સર્વિસ વર્ષ 2017થી સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહી છે. સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ છે વર્ષ 2017થી ચાલુ છે, એમાં અમારા કરાર થયેલા હતા. એટલે અમે 160 બસ ચલાવતા હતા. આ બસ સેવામાં વિદ્યાર્થીઓને 50 ટકા કન્સેશન આપીએ છીએ, અપંગ વ્યક્તિઓને 80 ટકા કન્સેશન આપીએ છીએ સાથે નોકરીયાત વર્ગને 30 ટકા કન્સેશન આપીએ છીએ. 'હવે અમારે કોર્પોરેશનમાંથી બિલ લેવાનું છે'વધુમાં કહ્યું કે, હવે પરિસ્થિતિ એવી છે કે, અત્યારે નવેમ્બરથી 'સ્માર્ટ સિટી પ્રોજેક્ટ' બંધ થઇ ગયો છે તેવું કહેવામાં આવે છે. હવે અમારે કોર્પોરેશનમાંથી બિલ લેવાનું છે. અમારું બિલ દર વખતે જતું, પણ નવેમ્બરનું જે બિલ અમે મુકેલું એનો આજ દિન સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એમ કહે છે કે ફાઈલ મંજુર થશે પછી ખબર પડશે કે તમારે ક્યાંથી બિલ લેવાનું છે. હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી કે તમારે બિલ ક્યાંથી લેવું તો અમારે અત્યારે 550 કર્મચારીઓ છે, તેઓને પગાર ક્યાંથી કરશું? દર મહિનાની 20 તારીખે અમે બધાને ઉપાડ આપીએ છીએ. વધુમાં કહ્યું કે, પરંતુ ગત 20 તારીખે અમે ઉપાડ આપી શક્યા નથી, જેના કારણે કર્મચારીઓમાં પણ રોષ છે. 20 તારીખે ઉપાડ નથી આપ્યો, એટલે પહેલી તારીખે અમારે પૂરો પગાર કરવો પડે છે. નવેમ્બરનું બિલ હજુ આવ્યું નથી અને આજે ડિસેમ્બરની 26 તારીખ થઇ ગઈ છે, એટલે હવે બે બિલ ભેગા થશે. આવી સ્થિતિમાં અમે આટલા બધા કર્મચારીઓને પગાર ચુકવી શકીએ તેમ નથી. વધુમાં કહ્યું કે આ બાબતે અમે નોટિસ આપી છે. જો આ નોટિસનો જવાબ નહીં મળે અથવા અમને કોઈ લેખિત ખાતરી નહીં આપવામાં આવે કે બિલ આ રીતે ચૂકવાશે, તો અમે આવતી પહેલી તારીખથી સિટી બસ સેવા બંધ કરી દેશું તેવી ચીમકી ઉચ્ચારી છે. આ સેવા કોર્પોરેશન હસ્તક કરવામાં આવી છે: સ્માર્ટ સિટીના CEOઆ અંગે સ્માર્ટ સિટીના સીઈઓ અને કોર્પોરેશનમાં ડીવાયએમસી વી એમ રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, સમાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે કે આ સેવા કોર્પોરેશન હસ્તક કરવામાં આવી છે. નવેમ્બર પછીના બિલ કોર્પોરેશન ચૂકવશે જે કદાચ પ્રોસેસમાં હશે. તેઓએ આપેલી નોટિસનો અમે જવાબ આપીશું અને પગલાં ભરીશું અમને હજુ નોટિસ મળી નથી.

26 C