SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ભરૂચના જુના તવરામાં TPL સીઝન-2 માટે ઓક્શન:170થી વધુ ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા, 10 ટીમો મેદાને ઉતરશે

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 માટે 2025નું ઓક્શન યોજાયું હતું. આ ઓક્શનમાં ગામના વિવિધ સમાજોના 170થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 10 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે રસ વધારવાનો અને તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ગામના યુવાનોમાં એકતા, સહકાર અને સામાજિક જોડાણને મજબૂત બનાવે છે. ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો વિસ્તાર ઝડપથી શહેરીકરણ પામી રહ્યો છે અને નવા ભરૂચ તરીકે વિકસી રહ્યો છે. આવા સમયે ગ્રામ્ય યુવાનોમાં પરસ્પર પ્રેમ, રમતગમત અને સમાજસેવા પ્રત્યેની ભાવના જળવાઈ રહે તે હેતુથી TPLનું આયોજન કરાયું છે. ઓક્શન પ્રક્રિયા દરમિયાન વિવિધ ટીમ માલિકો અને ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઓર્ગેનાઈઝર યુવા આગેવાનોએ જણાવ્યું કે, આ ટુર્નામેન્ટ ગામના દરેક સમાજના યુવાનોને કોઈપણ ભેદભાવ વિના એક મંચ પર લાવવાનું માધ્યમ છે. ગામના ખેલપ્રેમીઓ હવે TPL-2025ની મેચોની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં જુના તવરા ક્રિકેટ મેદાન પર થનારી મેચો માટે તમામ ટીમો તૈયારીઓમાં લાગી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:26 am

દિલ્હી કાર વિસ્ફોટ બાદ અરવલ્લી ચેકપોસ્ટ પર કડક ચેકિંગ:ગુજરાત-રાજસ્થાન સરહદે ઝીણવટભરી તપાસ; રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને UPના હજારો વાહનોની અવરજવર

દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે અરવલ્લી જિલ્લામાં, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ગતરોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે એક ચાલુ કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. આ એલર્ટના પગલે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલી અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સવારથી જ કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અન્ય રાજ્યોમાંથી આવતા નાના-મોટા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. શામળાજી નજીક આવેલી આ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. ગુજરાતમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશીને અરાજકતા ન ફેલાવે તે સુનિશ્ચિત કરવા માટે અણસોલ ચેકપોસ્ટ પર સતત પોલીસ ચેકિંગ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:18 am

સાબરકાંઠાના ત્રણ ખેલાડીએ મેડલ જીત્યા:નાસિકમાં વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેળવ્યા

મહારાષ્ટ્રના નાસિક ખાતે ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાયેલી બે દિવસીય વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ 2025માં સાબરકાંઠા જિલ્લાના ત્રણ ખેલાડીઓએ મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશીપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને દીવ-દમણના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લામાંથી કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાના નેતૃત્વ હેઠળ કુલ છ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ છ ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જોષી રુદ્ર સચિનભાઈએ અંડર-14 વર્ષ કુમિતે 30 કિલોગ્રામ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મોડીયા બાર્લિન નિરવકુમારે અંડર-14 વર્ષ કુમિતે 30 કિલોગ્રામ વજન ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે નાયી સાન્વી કપિલભાઈએ અંડર-14 વર્ષ કુમિતે 40 કિલોગ્રામ વજન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ જીતીને જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કરાટે એસોસિએશન દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:17 am

PAYTMના કર્મીની ઓળખ આપી 93 બજાર ટ્રાન્સફર કરી ફરાર:વાડજમાં પાન પાર્લર માલિકની નજર ચૂકવી અજાણ્યા યુવકે ફોનથી પૈસા પડાવ્યાં

અમદાવાદના વાડજમાં પાન પાર્લર ચલાવતા આધેડને એક શખ્સે PAYTMના કર્મચારીની ઓળખ આપીને લોનનો હપ્તો ઓછો કરાવવાનું કહીને આધેડનો મોબાઈલ લઈને તેમની જાણ બહાર તેમના ફોનમાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શનથી 93 હાજર બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે આધેડે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવકે પોતાની ઓળખ PAYTMના કર્મચારી તરીકેની આપીજુના વાડજમાં રહેતા હસમુખભાઈ વાઘેલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના ઘરની નીચે પાન પાર્લર ચલાવે છે. 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે તેમના ગલ્લા પર એક અજાણ્યો વ્યક્તિ બાઇક લઈને આવ્યો હતો, જેણે પોતાની ઓળખ PAYTMના કર્મચારી તરીકેની આપી હતી. અજાણ્યા વ્યક્તિ એ તેમને કહ્યું હતું કે, તે ચેક કરવા આવ્યો છે કે તેમની paytm બરાબર ચાલે છે. લોનના હપ્તા રેગ્યુલર ચાલે છે કે કેમ. લોનનો હપ્તો ઓછો કરવાનું કહી એક રૂપિયો ટ્રાન્સફર કરાવ્યોઅજાણ્યા વ્યક્તિએ લોનની વિગત પૂછી હતી. જે બાદ હસમુખભાઈને કહ્યું હતું કે, તમારે લોનનો હપ્તો ઓછો કરાવો છે? તેથી હસમુખભાઈ હા પાડતા અજાણ્યા વ્યક્તિએ તેમને તેમના જ સ્કેનરમાં એક રૂપિયો ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. હસમુખભાઈએ એક રૂપિયો ટ્રાન્સફર કર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ હસમુખભાઈનો મોબાઈલ માંગ્યો હતો. હસમુખભાઈનો મોબાઇલ લઈને થોડીવાર મોબાઇલમાં paytm એપ્લિકેશન ખુલ્લી રાખી હતી. હસમુખભાઈના ગ્રાહક આવતા અજાણ્યા વ્યક્તિએ હસમુખભાઈની નજર ચૂકવીને 48000 અને 45000 એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી 93 હજાર રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ત્યાંથી લોન ના હપ્તા ઓછા થઈ જશે તેવું કહીને અજાણ્યો વ્યક્તિ નીકળી ગયો હતો. દીકરાએ તપાસ કરતા પૈસા ઉપડી ગયાની જાણ થઈઅજાણ્યા વ્યક્તિને ગયા બાદ બે દિવસ સુધી હસમુખભાઈના મોબાઈલ પર બેંકના મેસેજ આવતા બંધ થઈ ગયા હતા, જેથી તેમણે તેમના દીકરાને બતાવ્યું હતું. તેમના દીકરાએ તપાસ કરતા તેમના ખાતામાંથી 93,000 ઉપડી ગયા હતા. તપાસ કરતા જાણ થઈ હતી કે, અજાણ્યા વ્યક્તિ જ paytmનો કર્મચારી બનીને આવ્યો હતો, ત્યારે તેમની નજર ચૂકવીને 93 હજાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે હસમુખભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:15 am

નવલપુરમાં ACB નો ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ કાર્યક્રમ:NSS વિદ્યાર્થિનીઓએ નાટક દ્વારા જાગૃતિ ફેલાવી

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુર ગામે હિંમતનગર ACB પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગરની વિધાનગરી આર્ટસ કોલેજના NSS કેમ્પની વિદ્યાર્થિનીઓએ નાટક રજૂ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. સાબરકાંઠા ACB પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ કેળવવા અને જનજાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિજીલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આ પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થિનીઓએ ACBની જાગૃતિ અંગે નાટક દ્વારા માહિતી આપી હતી. ગામની જાહેર જનતાને ટોલ ફ્રી નંબર 1064 અંગેના પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવે તો તેની જાણ ACB કચેરીના ટોલ ફ્રી નંબર 1064, ફોન નંબર 079-22866772, ફેક્સ નંબર 079-22869228, અથવા ઈમેલ polstn-acb-sab@gujarat.gov.in પર કરી શકાય છે. કચેરી સમય દરમિયાન સાબરકાંઠા ACB પોલીસ સ્ટેશનમાં રૂબરૂ સંપર્ક કરવા અથવા સીડી કે પેનડ્રાઈવમાં માહિતી મોકલવા પણ જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:14 am

આતંકવાદ વિરોધી ટુકડીની તૈયારીઓનું નિરીક્ષણ:રાજકોટ રેન્જ આઈજી અશોકકુમારે ગ્રામ્ય -જિલ્લા પોલીસની વાર્ષિક પરેડનું ઇન્સ્પેક્શન કર્યું, કહ્યું-કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જવાનો સજ્જ છે

રાજકોટનાં મવડી પોલીસ હેડક્વાર્ટરમાં ગ્રામ્ય આજે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર દ્વારા રાજકોટ ગ્રામ્ય અને જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સેરિમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શનમાં આવનારા પડકારોને પહોંચી વળવા માટે પોલીસની તૈયારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ દળની સજ્જતા, તાલીમ અને આંતરિક વ્યવસ્થાપનની ચકાસણી કરવાનો હતો. ચકાસણી બાદ અશોકકુમારે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય અને જિલ્લા પોલીસનાં જવાનો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમારે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજે વાર્ષિક પરેડનું આયોજન થયું છે. આ પરેડ સાથે સાથે આવનારા વર્ષમાં પોલીસ સામે જે પણ પડકારો છે, તેને પહોંચી વળવા માટેની તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવેલી છે તેની સમીક્ષા કરવામાં આવી છે. આ ઇન્સ્પેક્શન નિમિત્તે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા કોઈપણ આતંકવાદી પડકારનો સામનો કેવી રીતે કરી શકાય તેની તૈયારીઓ તેમજ રિહર્સલ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, સામાન્ય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની તૈયારીઓ, જેમ કે તોફાનોને નિયંત્રિત કરવા અને ભીડ નિયંત્રણ માટે મોકડ્રિલ સહિત તમામ પ્રકારની પોલીસની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ તમામ પડકારોનો સામનો કરવા માટે કટિબદ્ધ છે. અને તેમની તૈયારીઓ સંપૂર્ણ રીતે કોઈપણ પરિસ્થિતિને અનુકૂળ છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાના સંદર્ભમાં, તેમણે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા લગભગ 18 કલાકથી પોલીસ દ્વારા સંપૂર્ણ ચેકિંગ અને સુરક્ષાની કાર્યવાહી સતત ચાલુ છે. આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા વ્હીકલ ચેકિંગ, સાર્વજનિક સ્થળોનું ચેકિંગ, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. એટલું જ નહીં, દરિયાઈ વિસ્તારમાં પણ અમારી સખત વ્હીકલ ચેકિંગની કામગીરી, શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી અને તમામ લેન્ડિંગ પોઈન્ટ્સ પર ચેકિંગની કામગીરી સંપૂર્ણ રીતે ચાલુ છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય. અશોક કુમારે જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે તેઓ કોઈપણ પ્રકારની શંકા, કુશંકા કે અફવાઓ ફેલાવે નહીં. તેમજ જો કોઈ વ્યક્તિ પાસે સચોટ બાતમી હોય, કોઈ પણ લાવારીસ વસ્તુ કે વ્હીકલ જોવા મળે તો પણ તાત્કાલિક પોલીસને ધ્યાન દોરવું જેથી પોલીસ ત્વરિત અને કડક પગલાં લઈ શકે. પોલીસ મહાનિરીક્ષકના આ ઇન્સ્પેક્શનનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ ગ્રામ્ય પોલીસ દળ માત્ર નિયમિત ફરજો માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રિય સુરક્ષા અને કાયદાના ગંભીર પડકારો માટે સંપૂર્ણ રીતે તૈયાર છે કે કેમ તે ચકાસવાનો હતો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:13 am

શૌચાલયની બારી તોડી નાસેલા કેદીને એક વર્ષની સજા:2019માં પાટણની ધારપુર હોસ્પિટલનાં કેદી વોર્ડનાં શૌચાલયની બારી તોડી નાસેલા કેદીને એક વર્ષની સજા

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલનાં લોકઅપમાં આવેલા શૌચાલયમાં આવેલા વેન્ટીલેટર તોડી નાંખીને બારીમાંથી પોલીસની કાયદેસરની કસ્ટડીમાંથી પોલીસને થાપ આપીને તા. 2-6-2019 નાં રોજ રાત્રે 9:30વાગ્યાના સુમારે નાસી છૂટેલા આરોપી વિષ્ણુજી ભગવાનજી ઠાકોર (ઉ.વ. ૨૧) રે. જાખેલ, તા. સમીને પાટણની જ્યુડિસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીએ દોષિત ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. જયારે આ કેસનાં અન્ય ચાર પોલીસ કર્મચારીઓ એએસઆઈ અનિલભાઈ, રમેશભાઈ, કરણસિંહ તથા સતિષભાઈને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ કે.સી. વકીલ તથા છોડી મૂકેલા આરોપીઓના વકીલ આર.એસ. વણકરે રજૂઆત કરી હતી. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીનો ગુનો ગંભીર ગુના અને ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હોય કાયદામાં જણાવ્યા મુજબની પૂરેપૂરી સજા કરવા દલીલ કરી હતી. પાટણની કોર્ટે બંને પક્ષોની રજૂઆતો ધ્યાને લઈને પોતાનાં 31 પાનાનાં ચૂકાદામાં જણાવ્યું હતું કે, આરોપી વિષ્ણુજી ઉપર આક્ષેપાયેલ સજાની જોગવાઇ તેમજ ફરીયાદ હકીકત તેમજ ક્રિમીનલોજીનાં સિધ્ધાંતો ધ્યાને લેતાં આરોપી દ્વારા પોતાની કાયદેસરની કસ્ટડીમાંથી ઇરાદપૂર્વક પ્રયત્ન કર્યો છે અને ભાગી ગયેલ છે. જે અંગે રેકર્ડ ઉપર સ્પષ્ટ પૂરાવો છે. ત્યારે આવા ગંભીર ગુના સબબ પ્રોબેશનનો લાભ આપવો પણ ઉચિત જણાતો નથી. તથા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે સંજોગોમાં આરોપીને પ્રોબેશનનો લાભ આપીને છોડી મૂકવામાં આવે તો સમાજમાં તેમજ કસ્ટડીમાં રહેલ કેદીઓમાં ખોટો સંદેશ જાય. આ કેસની વિગતો એવી છે કે, આરોપી વિષ્ણુજી પાટણની સબજેલમાં હતો ત્યારે તેને ચક્કર આવતા હોવાની તથા અન્ય બિમારીની ફરીયાદને કારણે પોલીસ જાપ્તા સાથે પાટણની ધારપુર સિવિલમાં સારવાર માટે લઇ જવાયા બાદ તે હોસ્પિટલનાં કેદીવોર્ડનાં સંડાસની બારી તોડીને નાસી ગયો હતો. આરોપી પાટણ એલસીબીનાં કોઇ કેસમાં બનાવ વખતે સબજેલમાં હતો તે ભાગી છૂટતાં તેની તથા તેની સાથેનાં પોલીસ કર્મચારીઓ સામે આઇપીસી ૨૦૨૩/૨૨૪/૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો. આરોપીને આઇપીસી ૨૨૪ અંતર્ગત એક વર્ષની સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:02 am

મહેસાણા જિલ્લામાં જતન પ્રોજેક્ટ રંગ લાવ્યો:388 અતિ કુપોષિતમાંથી 46 રહ્યા, 1113 સામાન્ય કુપોષિત બાળકોમાંથી 510 રહ્યાં

ઘણા વર્ષોથી મહેસાણા જિલ્લામાં કુપોષણ પીડિત બાળકો મોટા પ્રમાણમાં નોંધાયા છે. એમાં પણ ગરીબ અને પછાત વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ વધુ નોંધાયું છે. આથી એક વર્ષ અગાઉ મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા નાના કુપોષિત બાળકોમાંથી કુપોષણ દૂર કરવા જતન પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો હતો. કુપોષિત બાળકોના પ્રમાણમાં ધરખમ ઘટાડો કુપોષણથી પીડિત બાળકોનું ખાસ જતન કરીને કુપોષિત બાળકોને જતન પ્રોજેકટ હેઠળ ખાસ જતન કરવામાં આવી રહ્યું છે. આ કારણે કુપોષણથી પીડિત અનેક બાળકો કુપોષણમાંથી મુક્ત બન્યા છે અને તેના સારા પરિણામ આવવાના શરૂ થયા છે. આ કુપોષણ સામેના જંગમાં કુપોષણ બાળકોનું જતન કરવામાં આવતા 388 કુપોષિત બાળકોનું જતન કરવામાં આવ્યું અને તેના કારણે ખૂબ જ સારા પરિણામના કારણે અતિ કુપોષિત 388 બાળકોમાંથી 46 બાળકો કુપોષિત રહ્યા છે. જ્યારે સામાન્ય કુપોષિત 1,113 બાળકો હતા, જે ઘટીને 510 થયા છે. આમ, જતન પ્રોજેકટના કારણે અતિ કુપોષિત અને સામાન્ય કુપોષિત બાળકોના પ્રમાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જતન પ્રોજેક્ટની શરૂઆત ડિસેમ્બર, 2024માં થઈઃ ડૉ. સુજલ શાહ ડૉ. સુજલ શાહે જણાવ્યું કે, આ મહેસાણા જિલ્લાની પહેલ છે. ખાસ કરીને આ જે જિલ્લા વિકાસ અધિકારી છે, એમના દ્વારા આપણે જતન પ્રોજેક્ટની 2024માં ડિસેમ્બરમાં શરૂઆત કરી. એ વખતે અમે બાળકોને આઈડેન્ટીફાય કર્યા હતા કે, કેટલા બાળકો કુપોષણમાં અતિ ગંભીર કુપોષિત એટલે કે સૅમ (SAM) બાળક જેને જતન પ્રોજેક્ટ અંતર્ગત વાહલા બાળકનું નામ આપવામાં આવ્યું. બીજું છે કે જે મીડિયમ એટલે કે મોડરેટ એક્યુટ માલન્યુટ્રેશન એટલે કે પ્રિય બાળક એવું એક નામ અંતર્ગત એમને આ પ્રોજેક્ટમાં લેવામાં આવ્યા, જેમાં આરોગ્ય જે સંસ્થા છે, આંગણવાડી કેન્દ્રો છે, તથા આપણી જે આર.બી.એસ.કે. (RBSK)ની ટીમ છે, તો એમને મંગળ, બુધ અને શુક્ર આ ત્રણ વારે ત્રણ વખત ગરમ નાસ્તાનું આયોજન થાય એવું ગોઠવી આપ્યું. ‘બાળકોને અપાતા ભોજનથી સુધારો આવ્યો’સવારે ગરમ નાસ્તો, બપોરે ગરમ જમવાનું અને બે અઢી ત્રણ વાગ્યાની આસપાસ ગરમ જમવાનું. જે બાકીના દિવસ વધે છે, ત્યાં એમને શું ખવડાવું? એના માટે ટી.એચ.આર. (THR) ફૂડ જે વર્ષોથી આંગણવાડીમાં અપાય છે, ટેક હોમ રાશન, એ આપે છે જેના કારણે બાળકોમાં જે સુધાર આવ્યો છે. એના હું ડેટા વિશે કહીશ કે, અતિ ગંભીર કુપોષિત સૅમ (SAM) બાળકો જે 388 હતા એ ઘટીને અત્યારે ફક્ત 46 (ઓક્ટોબર 25 અંતેનો જે રિપોર્ટ છે, એમાં 46 બાળકો છે), તથા જે મોડરેટ બાળકો છે જે 1113 હતા, જે ઘટીને 510 ઓક્ટોબર 25માં થયા છે. એટલે આ અમને એક સફળ પ્રોજેક્ટ તરીકે લાગે છે અને ભવિષ્યમાં બીજે પણ અમે ઈમ્પ્લીમેન્ટ કરાવીશું.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:01 am

SoUમાં પરંપરાગત સાંસ્કૃતિક લોકનૃત્ય-સંગીતનો કાર્યક્રમ:છત્તીસગઢ, સિક્કિમના CM અને રિવાબા જાડેજા એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં સહભાગી બન્યા

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને રાજ્યના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર દિલ્હીની બહાર અને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશની કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસો-પરંપરાનો ઉત્સવ એવા 'ભારત પર્વ-2025'નું આયોજન કરાયું છે. આ પર્વના 10માં દિવસે છત્તીસગઢ તથા સિક્કિમના મુખ્યમંત્રી, દિલ્હીના લે.ગર્વનર અને ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કલાકારોએ પોતાના રાજ્યના સાંસ્કૃતિક, પરંપરાગત લોકનૃત્યો પ્રસ્તુત કર્યા હતા. આ અવસરે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ જણાવ્યું હતું કે, કેવડીયાના આંગણે ભારત પર્વેની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ 562 રજવાડાનું એકસૂત્રતાના તાંતણે બાંધવાનું અજોડ કાર્ય કર્યું હતું. વડાપ્રધાને બિરસા મુંડાના જન્મદિવસને જન જાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવાનો નિર્ણય કરીને જનજાતિય સમાજનું ગૌરવ વધાર્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ દેશની અનેકતામાં એકતાનું પ્રતિક છે ત્યારે આપણે સૌ ભારતીયો એક છીએ એવી ભાવના અહીં સાકારિત થઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સિક્કિમના મુખ્ય મંત્રી પ્રેમસિંહ તમાંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરદર્શિતા અને પ્રેરણાદાયી નેતૃત્વમાં ભારત દેખો અભિયાન હેઠળ આપણને ભારત પર્વની ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થયો છે જેમાં દેશના વિવિધ રાજ્યોની પરંપરા, સંસ્કૃતિને પ્રસ્તુત કરવા માટે એક મંચ મળી રહ્યું છે જેના થકી વિવિધતામાં એકતાના દર્શન થાય છે, એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાર્થક થાય છે, તેથી આ પર્વ આપણી આત્માનો ઉત્સવ છે તેમ કહી શકાય. વડાપ્રધાનએ 15મી નવેમ્બરને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવાનો અવસર પ્રદાન કર્યો છે અને યોગાનુયોગ આ વર્ષે તેમની 150મી જન્મ જયંતિ વર્ષને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. દેશની મહાન વિભૂતિઓને સન્માનિત કરવાની પરંપરા અને ભગીરથ કાર્ય વડાપ્રધાનના નેતૃત્વમાં શરૂ થયું છે જેના થકી દેશના નાયકોને યથોચિત સન્માન પ્રાપ્ત થયું છે. આ પરંપરાને આગળ ધપાવી આપણે સૌ એકતા અને બંધુત્વની ભાવનાને જીવંત રાખીએ તેમ તેઓએ ઉમેર્યું હતું. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે, ભારત પર્વ’ દેશની લોકપરંપરા, લોકજીવન અને લોકચેતનાને જોડતો એક અદભૂત સેતુ છે. ગુજરાતની પાવન ભુમિ એ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વિક્રમ સારાભાઈ જેવા મહાપુરુષોને જન્મદેનારી ભૂમી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાએ એકતા અને અખંડિતતાની સાથે ભારતની પ્રાચીન ગૌરવનું પ્રતિક બની હોવાનું તેમણે કહ્યું હતું. ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રીવાબા આર.જાડેજાએ જણાવ્યું હતું કે, ભારત પર્વ દેશની સંસ્કૃતિ, પરંપરા અને એકતાની ભાવનાને ઉજાગર કરે છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમૃધ્ધિ, સંસ્કૃતિ અને એકીકરણના પ્રતિક સમાન એકતાનગર ખાતે નિર્માણ પામનારા રોયલ કિંગડમ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ભારતના ૫૬૨ રજવાડાનું પ્રતિબિંબ રજુ થશે. એકતાનગ રએ સ્મારક નહીં પણ પર્યટન અને વિકાસનું સશકત કેન્દ્ર બન્યું છે. કાર્યક્રમ પૂર્વે તમામ મહાનુભાવોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ કરી ભાવ વંદના કરી હતી. ત્યાર બાદ થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. જ્યાં વિવિધ રાજ્યોના પેવેલિયન (સ્ટોલ) ખાતે પહોંચી ઉપસ્થિત પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો. ત્યાંથી સ્ટૂડિયો કિચન પહોંચી ખાસ કૂક દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ ચાખી તેમની રસોઈ બનાવટની પ્રસંશા કરી હતી. ગુજરાત પ્રવાસવ વિભાગ દ્વારા અહીં ઊભા કરાયેલા ફૂડ સ્ટોલની પણ મહેમાનોએ મુલાકાત લીધી હતી. આ અવસરે છતીસગઢનું કર્માદેવી નૃત્ય, સિક્કિમ અને દિલ્હી રાજ્યના કલાકારો દ્વારા રજુ કરાયેલા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યોને દેશભરના વિવિધ રાજ્યોમાંથી પધારેલા દર્શકોએ નિહાળી મંત્રમુગ્ધ થયા હતા. આ અવસરે છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી અરૂણ સાહો, દિલ્હી વિધાનસભાના સ્પીકર વિરેન્દ્ર ગુપ્તા, દિલ્હીના પર્યટન મંત્રી કપિલ મિશ્રા, દિલ્હીના મુખ્ય સચિવ રાજીવ શર્મા, ગુજરાત પ્રવાસન વિભાગના એમડી પ્રભવ જોશી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, SoU અને જિલ્લા વહીવટ તંત્રના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 11:00 am

રાજકોટ રેન્જ મહિલા હોકી ટીમ વિજેતા:DGP કપમાં સતત ત્રીજી વખત ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો

રાજકોટ શહેરમાં આયોજિત DGP હોકી કપ-2025માં રાજકોટ રેન્જની મહિલા હોકી ટીમે વિજય મેળવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજકોટ રેન્જની ટીમે સતત ત્રીજી વખત ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી મહિલા અને પુરુષોની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. રાજકોટ રેન્જની મહિલા હોકી ટીમને રેન્જ IG અશોકકુમાર યાદવ (રાજકોટ વિભાગ), જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને જામનગર શહેરના DYSP જયવિરસિંહ ઝાલા દ્વારા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. જામનગર SOGના બી.એન. ચૌધરી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ટીમના આ શાનદાર પ્રદર્શન બાદ, રેન્જ IG અશોકકુમાર યાદવે સમગ્ર મહિલા ટીમને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટીમ સાથે વાર્તાલાપ કર્યો અને ટીમને પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી. IG યાદવે ટીમને આગામી નેશનલ લેવલની સ્પર્ધાઓ માટે પસંદગી પામવા શુભેચ્છાઓ પાઠવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:50 am

વલસાડમાં 2026 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવા શરૂ:40 હજારથી વધુ વિદ્યાર્થીઓ અરજી કરશે, તકેદારી રાખવા સૂચના

વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે અંદાજે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે અરજી કરશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મળેલી માહિતી મુજબ, જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ 6 ડિસેમ્બર 2025 સુધીમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, આશરે 19 હજારથી વધુ ધોરણ 10ના વિદ્યાર્થીઓ, 6 હજારથી વધુ HSC વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને 13 હજારથી વધુ HSC સામાન્ય તેમજ વ્યવસાયિક પ્રવાહના વિદ્યાર્થીઓ અને રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. ફોર્મમાં નામ, પિતાનું નામ અને અટક યોગ્ય રીતે લખવા જરૂરી છે, કારણ કે દાખલ થયેલી માહિતી જ રિઝલ્ટ અને માર્કશીટમાં દર્શાવવામાં આવશે. આ ઉપરાંત, વિષયની પસંદગી, કેન્દ્રનું નામ અને અન્ય જરૂરી વિગતો સાચી રીતે ચકાસીને જ ફોર્મ ફાઈનલ કરવું. શાળાઓના મુખ્યાધ્યાપકોને પણ સૂચના અપાઈ છે કે વિદ્યાર્થીઓના ફોર્મ સમયસર અને યોગ્ય રીતે ભરાઈ જાય તેની ખાતરી કરે. બોર્ડના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો ફોર્મમાં કોઈ ભૂલ રહી જશે તો પછી સુધારણા શક્ય નહીં રહે. શિક્ષણ વિભાગે તમામ શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે સમયસર અને સંપૂર્ણ માહિતી સાથે ફોર્મ ભરીને બોર્ડ પરીક્ષા માટે યોગ્ય તૈયારી શરૂ કરી દેવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થાય.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:48 am

અમરેલીમાં સિઝનની સૌથી ઠંડી રાત:13 ડિગ્રી તાપમાન સાથે નલિયા-ગાંધીનગરને પાછળ છોડ્યાં, રાજ્યમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે

આ શિયાળાની સિઝનમાં અમરેલી માટે સૌથી ઠંડી રાત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ, 13 ડિગ્રી તાપમાન સાથે અમરેલી શહેર સૌથી ઠંડું રહ્યું છે. તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે. હાલ તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. આગામી દિવસોમાં હજી પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હજુ પણ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે નોંધાયું છે, જેના કારણે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, સવાર અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુંઅમદાવાદમાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે અગાઉના તાપમાન મુજબ 4.3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થયો છે. જ્યારે રાજકોટમાં મહત્તમ તાપમાન 32.8 અને ન્યૂનતમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સુરતમાં મહત્તમ તાપમાન 32.2 અને ન્યૂનતમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. નલિયામાં ઠંડીનો ચમકારો યથાવત્રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી અમરેલીમાં નોંધાઈ છે, જ્યાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતા 5.2 ડિગ્રી ઓછું છે. દીવમાં પણ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાતા સામાન્ય કરતા 5.3 ડિગ્રી વધુ ઠંડીનો અનુભવ થયો. નલિયામાં પણ ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો અને લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે ભૂજ, ભાવનગર, રાજકોટ અને દમણ રાજ્યમાં 32.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા શહેરો રહ્યા છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઃ હવામાનહવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે અને બપોરે ગરમી અનુભવાઈ શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ખાસ મોટો બદલાવ જોવા નહીં મળે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:35 am

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરતમાં હાઈ એલર્ટ:સુરત રેલવે સ્ટેશન અને હોટલોમાં પોલીસનું સઘન ચેકિંગ, યાત્રીઓની કારના સામાન સહિતની તપાસ

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધાં છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલ્વે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત રેલ્વે સ્ટેશન, જે હજારો મુસાફરોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે. મુસાફરોની બેગ, સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા માત્ર રેલવે સ્ટેશન પૂરતું જ નહીં, પરંતુ તેની આસપાસના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. સુરત રેલ્વે સ્ટેશનની આસપાસમાં આવેલી તમામ હોટલો અને લોજમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગમાં હોટલોમાં રોકાયેલા મહેમાનોના આઈડી પ્રૂફ અને તેમના રોકાણના હેતુની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી કોઈ અજાણ્યો અથવા શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં આશરો ન લઈ શકે. પોલીસ દ્વારા ગઈકાલ રાતથી જ આ સંપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં શહેરને સુરક્ષિત ગણી શકાય તેવું ચિત્ર સામે આવ્યું છે. પોલીસ દ્વારા રાત-દિવસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ દ્વારા શહેરમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીના સઘન ચેકિંગ દરમિયાન કોઈપણ સંકાશ બંધ કરી શકાય તેવું અથવા કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ સામે આવી નથી, જે સુરત શહેર માટે રાહતની વાત છે. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જ્યાં સુધી સંપૂર્ણ સુરક્ષાની ખાતરી ન થાય ત્યાં સુધી આ એલર્ટ અને ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને નાગરિકોને પણ કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:34 am

હિંમતનગર પોન્ઝી સ્કીમ: બે આરોપી બે દિવસના રિમાન્ડ પર:'ધ બિગબુલ ફેમિલી' કેસમાં પોલીસ વધુ તપાસ કરશે

હિંમતનગરમાં 'ધ બિગબુલ ફેમિલી' પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બી ડિવિઝન પોલીસે ગઈકાલે સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, 'ધ બિગબુલ ફેમિલી' નામની કંપનીએ રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આ સ્કીમમાં છેતરાયેલા 36 રોકાણકારોએ એકઠા થઈને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંચાલકો અને એજન્ટો સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં શીતલ જગદીશગીરી ગોસ્વામી (રહે. જામળા, તા. હિંમતનગર) અને વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ (રહે. સરોલી, તા. હિંમતનગર)નો સમાવેશ થાય છે. પોલીસે સોમવારે સાંજે તેમને હિંમતનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને આરોપીઓને 12 નવેમ્બર, 2025ની સાંજ સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:31 am

ઉધારમાં સિગારેટ ન આપતા વેપારી પર જીવલેણ હુમલો:CCTV ફૂટેજના આધારે આરોપી ઝડપાયો, આરોપીએ બંને કાન પકડીને ભૂલની કબૂલાત કરી

સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટ ન આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપી મિત્ર સાથે સોડા પીવા પહોંચ્યો હતોસચિન વિસ્તારમાં ડીલક્ષ સોડા શોપ નામની દુકાન ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસ (ઉંમર 40) પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન, તેમની પડોશમાં જ શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર 24માં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડીલક્ષ સોડા શોપ પર પહોંચ્યો હતો. ઉધારમાં સિગારેટ આપવાની ના પાડતા હુમલો કર્યોઆરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગારેટની માગણી કરી હતી. દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી. દુકાનદારને બહાર ખેંચી માથામાં પ્રહાર કર્યાસીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દૃશ્યો અનુસાર, આરોપી અંકિતે પહેલા દુકાનની અંદર ઘૂસીને અનિલભાઈને ખેંચીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ દુકાનની બહાર લાવીને તેણે અનિલભાઈના માથા પર એક પછી એક સખત પ્રહાર કર્યા હતા. અંકિતે કોઈ પણ પ્રકારની દયા રાખ્યા વિના અનિલભાઈને બેફામ માર માર્યો હતો. આ હુમલા દરમિયાન, એક વ્યક્તિએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો અને અનિલભાઈને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.આ હુમલાથી અનિલભાઈને ઇજાઓ પહોંચી હતી. ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડબનાવ બાદ દુકાનદાર અનિલભાઈ દાસે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં આરોપી અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના સમયમાં જ હુમલો કરનાર મુખ્ય આરોપી અંકિતની ધરપકડ કરી લીધી હતી. આરોપીએ કાન પકડીને માફી માંગીસચિન પોલીસ દ્વારા ધરપકડ બાદ આરોપી અંકિતને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. પોલીસે કાયદાનું ભાન કરાવતા આરોપીએ બંને કાન પકડીને ભૂલની કબૂલાત કરી હતી. તેણે પોલીસ સમક્ષ એવું પણ જણાવ્યું કે, તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને તે ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં કરે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:13 am

ચાર કરોડના ખર્ચે બનેલી શાળા તૈયાર પણ લોકાર્પણ નહીં:લખપતગુનેરીમાં નવી શાળા 4 મહિનાથી બંધ, સ્થાનિકોએ કહ્યું- '8-10 દિવસ વાટ જોઇશું નહીં તો જાતે ઉદ્ઘાટન કરી દઇશું'

લખપત તાલુકાના ગુનેરીમાં અંદાજે ચાર કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું મકાન ચાર માસ અગાઉ બની ગયા બાદ હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં ન આવતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. ગામમાં વર્ષ 2017 માં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવ્યા બાદ ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના રૂમમાં અભ્યાસ કરતા હોવાથી હાઈસ્કૂલનું મકાન બને તે માટે અનેક વખતની રજૂઆતો બાદ આખરે જમીન તેમજ ગ્રાન્ટ મંજૂર થયા બાદ હાઈસ્કૂલના બાંધકામ માટે ત્રણ ત્રણ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આખરે વર્ષ 2023ના માર્ચ મહિનામાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ ચાર કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું કામ પૂર્ણ થઈ ગયું છે છતાં હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. હાલમાં અહીંની પ્રાથમિક શાળાના છ રૂમ પૈકી બે રૂમમાં ધોરણ નવ અને દસના 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળાના રૂમમાં ચાલી રહેલા માધ્યમિકના શિક્ષણ કાર્યને લઇ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે નવી ઈમારતનું ક્યારે લોકાર્પણ કરાશે તેવો વેધક સવાલ સ્થાનિક લોકો સાથે વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે. આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વહેલી તકે લોકાર્પણ કરવા માટે મૌખિક રજૂઆતની સાથે સંકલનમાં પણ લેખિત રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં નહિ આવે તો આગામી 8-10 દિવસમાં તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ તેમજ ગ્રામજનો સાથે મળીને હાઈસ્કૂલનું ઉદ્ઘાટન કરી નાખશું તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:12 am

દિલ્હી બ્લાસ્ટ બાદ બોટાદ પોલીસ એલર્ટ:શહેર-જિલ્લામાં સઘન ચેકિંગ, રેલવે-બસ સ્ટેશન પર પણ તપાસ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ બોટાદ પોલીસ એલર્ટ પર આવી ગઈ છે. જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. SOG, LCB, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેર તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએ મોડી રાતથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોટાદ રેલવે સ્ટેશન પર SOG, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને RPFની સંયુક્ત ટીમ દ્વારા યાત્રિકો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, એસ.ટી. બસ ડેપો પર પણ પાર્સલ અને મુસાફરોના સામાનનું ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પ્રવેશના મુખ્ય દ્વાર ગણાતી બરવાળાની સાળંગપુર ચોકડી પર પણ વાહનોની સઘન ચકાસણી માટે નાકાબંધી ગોઠવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા યાત્રિકો અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ, બેગ કે થેલો નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. બોટાદ પોલીસ સમગ્ર જિલ્લામાં સતર્કતા જાળવી રહી છે અને નાગરિકોને શાંતિ જાળવવા તેમજ સુરક્ષા વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:11 am

પાટણ પાલિકાના 12 સભ્યો ગાંધીનગર સુધી દોડ્યા:પ્રાદેશિક કમિશનરને રજૂઆત બાદ ₹10 કરોડના કામોને મંજૂરી મળી

પાટણ નગરપાલિકાના સત્તાધારી પક્ષ ભાજપના 12 જેટલા સભ્યોએ ગાંધીનગર ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પાટણ શહેરના આશરે ₹10કરોડના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે, જેનાથી શહેરના બિસ્માર રસ્તાઓની સમસ્યા હળવી થવાની અપેક્ષા છે. આ સભ્યોએ પાટણ શહેરના વિકાસ કાર્યોમાં અવરોધો આવતા હોવાના આક્ષેપો વચ્ચે પ્રાદેશિક કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. કારોબારી ચેરમેન મુકેશ જે. પટેલ અને ઉપપ્રમુખ હિનાબેન શાહ સહિત 12 જેટલા નગરસેવકોએ અધિકારીઓને રૂબરૂ મળીને વિકાસ કાર્યોને મંજૂરી આપવા વિનંતી કરી હતી. નગરસેવક મનોજ કે. પટેલે જણાવ્યું કે, તેમની રજૂઆતો બાદ પાટણના વિકાસ કાર્યો માટે મંગાવેલા ટેન્ડરોના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી શહેરના વિકાસ કાર્યોને આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે. ખાસ કરીને, શહેરના 49 રોડ-રસ્તાના કામોને મંજૂરી મળતાં બિસ્માર રસ્તાઓની ફરિયાદોમાં ઘટાડો થવાની શક્યતા છે. મંજૂર થયેલા કાર્યોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2022-2023 અને વ્યવસાય વેરાની 2024-2025ની ગ્રાન્ટમાંથી જુદા જુદા 14 વિસ્તારમાં ₹2.44કરોડના ખર્ચે રિસરફેસિંગ અને ડામર રોડ બનાવવાનું કામ સામેલ છે. ઉપરાંત, વર્ષ 2014-2025 ની ₹4.28 કરોડના ખર્ચે 20 વિસ્તારમાં ડામર રોડ બનાવવાનું કામ પણ મંજૂર થયું છે. વર્ષ 2023-2024 ની ગ્રાન્ટમાંથી પાટણ શહેરના તિરૂપતિ નગર ભાગ-1ના પાછળના ગેટથી બાલાજી ગ્રીન માધવ વિલા થઈ રેલ્વેના ગરનાળા સુધી વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાનું ₹23 લાખનું કામ પણ સમાવિષ્ટ છે. યુડીપી-88વર્ષ 2023-2024અને 15મા નાણાપંચની અનટાઈડ ગ્રાન્ટ વર્ષ 2023-2024માંથી શહેરના 15 જુદા જુદા વિસ્તારોમાં ₹2.28 કરોડના ખર્ચે મેટલિંગ કરી પેવરથી ડામર રોડ કરવાના કામોના ટેન્ડરોને પણ મંજૂરી મળી છે. આશરે ₹10કરોડના આ વિકાસ કાર્યો માટે હવે ઝડપથી વર્કઓર્ડર આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 10:07 am

અંધશ્રદ્ધામાં ગળાડૂબ સાસરિયાનો મહિલા પર ત્રાસ:પહેલાં પતિનો વાસ હોવાનું રટણ કરી પતિએ તાંત્રિક વિધિ બાદ ઘરમાંથી કાઢી મૂકી; કાઉન્સેલિંગ બાદ સમાધાન

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય પંથકની એક મહિલાને પ્રથમ લગ્ન બાદ પોતાના પતિનું અકાળે મોત નીપજ્યું હતું. જે બાદ મહિલાના પુન: લગ્ન કરવામાં આવ્યા હતા, જેના બીજા લગ્નથી તેને 3 સંતાનોનું સુખ મળ્યું હતું. જોકે, પુન: લગ્નના 15 વર્ષે સાસરીમાં અણધાર્યું થવા લાગતા તેના સાસરિયાઓ દ્વારા મહિલાને દેવદુ:ખ હોવાનું માની અંધશ્રદ્ધામાં પરોવાઈ ગયા હતા. મહિલા પર તાંત્રિક વિધિઓ કરાવી તેને ઘરમાંથી તગેડી મુકવામાં આવતા તેને મહિલા સહાયતા કેન્દ્રમાં જઈ પોતાની આપવીતી જણાવી હતી. મહિલા પર પહેલા પતિનો વાસ હોવાનું પતિ રટણ કરતોપુન:લગ્ન બાદ અંધશ્રદ્ધામાં ડૂબેલા સાસરિયાઓ દ્વારા મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપવા મામલે રજૂઆત મળતા મહેસાણા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં મહિલા અને તેના સાંસરિયાઓ વચ્ચે કાઉન્સેલિંગ કરવાની કવાયત્ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલા પર તેના પહેલા મૃતક પતિનો વાસ હોવાનું અને તેના સસરા તેના ઘરે ચા પીને ગયા બાદ તેઓ દુ:ખી હોવાનું રટણ કરતો હતો. મહિલાના સાસરિયાઓ પણ ઘણી વિધિ કરાવી છતાં મહિલાને સારું ન રહેતું હોવાનું કહેતા હતા. પોલીસે પરિવારનું કાઉન્સેલિંગ કરી રોગનું કારણ જણાવ્યુંકાઉન્સેલર નીલમ પટેલ દ્વારા મહિલાને કોઈ દેવદુઃખ ન હોવાનું, પરંતુ તેના મેડિકલ રિપોર્ટમાં પ્રોટિનની ઉણપ હોવાથી તેનું વર્તન અજુકતું હોવાનું સમજાવ્યું હતું. સાથે ઘર-સંસારમાં સમય ચડઉતર કરે તો એમાં લગ્નના 15 વર્ષે સારું ચાલ્યા બાદ મહિલા પર દેવદુ:ખના આરોપ કરી કાઢી મૂકવી એ કાયદાની દ્રષ્ટિએ પણ યોગ્ય ન હોવાનું સમજાવ્યું હતું. સાસરિયાની અંધશ્રદ્ધા દૂર થતાં મહિલાને સ્વીકારીઅંધશ્રદ્ધામાંથી બહાર આવી મહિલાને સાથે પરિવારના સભ્ય જેવું વર્તન કરવા સમજાવ્યું હતું. અંતે મહિલાના સાસરિયાએ ભૂત, ભૂવા અને તાંત્રિક વિધિના ધતિંગ ન કરવા ટકોર કરાઈ હતી. અંતે લાંબા કાઉન્સેલિંગ બાદ મહિલાના પતિ સહિતના સાસરિયાઓમાં અંધશ્રદ્ધા દૂર થતાં મહિલાને સ્વીકારી સમાધાન કરી ઘરે લઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 9:44 am

પાટણમાં ઠંડીની જમાવટ:લઘુતમ તાપમાન 14 ડિગ્રી પર સ્થિર, મહત્તમ તાપમાન 29 ડિગ્રી; સપ્તાહ દરમિયાન ફેરફારની શક્યતા ઓછી

પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે. સોમવારે પણ આ જ તાપમાન નોંધાયું હતું. ખાનગી વેબસાઈટના આંકડા મુજબ, સોમવારે પાટણનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાપમાન સ્થિર રહેવા છતાં સવાર અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે સામાન્ય ગરમી વર્તાય છે. જિલ્લામાં ધીમે ધીમે ઠંડી જામી રહી હોવાથી લોકો સ્વેટર પહેરેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગના સૂત્રો અનુસાર, આ સપ્તાહ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને ઉત્તર-પૂર્વીય દિશાના પવનોને કારણે ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી આ અસર જોવા મળી રહી છે. મંગળવારે વહેલી પરોઢે અને સોમવારે રાત્રિના સમયે રહીશોને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વહેલી પરોઢે 14 ડિગ્રી તાપમાનને કારણે વાહનચાલકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 9:38 am

ટુ વ્હીલર માટે ઇ ઓક્શન શરૂ થશે:વડોદરા RTO દ્વારા ટુ-વ્હીલર માટે ગોલ્ડન અને સિલ્વર નંબરોની ઈ-ઓક્શન શરૂ થશે, કઈ રીતે મેળવશો ગોલ્ડન નંબર

વડોદરા આર.ટી.ઓ. કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ટુ-વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને અન્ય સિલેક્ટેડ નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શનની શરૂઆત કરવામાં આવશે. આ અંગેની નવી સિરીઝ GJ06SM ના નંબરો માટે આગામી તારીખ 15 નવેમ્બરથી , 2025થી ઈ-ઓક્શન શરૂ થશે. ઈચ્છુક વાહન માલિકો પોતાના ટુ-વ્હીલર વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને http://parivahan.gov.in/fency પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે. ઈ-ઓક્શનની મહત્વની તારીખો અને સૂચનાઓ - રજિસ્ટ્રેશન અને અરજીનો સમયગાળો: 15 નવેમ્બર , 2025, બપોરે 4:00 વાગ્યાથી 17 નવેમ્બર , 2025, બપોરે 3:59:59 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન અને અરજી કરવાની રહેશે. - બિડિંગનો સમયગાળો: 17 નવેમ્બર , 2025, બપોરે 4:00 વાગ્યાથી 19 નવેમ્બર, 2025 બપોરે 4:00 વાગ્યા સુધી બિડિંગ ઓપન રહેશે. - મહત્વની સૂચના: ફક્ત એવા અરજદારો જ હરાજીમાં ભાગ લઈ શકશે કે જેમના વાહનના સેલ લેટરની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ જમા કરાવવામાં આવ્યું હશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. વધુ માહિતી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે http://parivahan.gov.in/fency પર મુલાકાત લો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 9:37 am

વાપીમાંથી ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો:પાસપોર્ટ-વિઝા વિના રહેતા ફારૂક શેખની SOGએ ધરપકડ કરી

વલસાડ SOG ટીમે વાપીમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ગેરકાયદેસર વસવાટ કરવા બદલ ધરપકડ કરી છે. આ કાર્યવાહી 10 નવેમ્બરની રાત્રે વાપી GIDC વિસ્તારમાં UPL બ્રિજ નીચેથી કરવામાં આવી હતી. SOG ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે UPL બ્રિજ નીચે તપાસ હાથ ધરી હતી. ત્યાંથી ફારૂક શેખ નામનો શંકાસ્પદ પુરુષ મળી આવતા તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછમાં તે હિન્દી ભાષામાં ઉડાઉ જવાબ આપતો હતો. તેથી તેને વધુ તપાસ માટે SOG કચેરી લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેણે પોતાનું નામ મહંમદ ફારૂક હુસૈન મીયા (ઉંમર 40 વર્ષ) જણાવ્યું હતું. ફારૂક શેખ હાલ મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારમાં રહેતો હતો, પરંતુ તેનું મૂળ વતન બાંગ્લાદેશના બ્રાહમનબારીયા જિલ્લામાં છે. તેના પાસેથી બાંગ્લાદેશ સરકારનું નેશનલ આઈડી કાર્ડ (નં. 7802249297) મળી આવ્યું હતું, જેનાથી તેની ઓળખની પુષ્ટિ થઈ હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે તેની પાસે ભારતમાં પ્રવેશ માટે જરૂરી પાસપોર્ટ કે વિઝા જેવા કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા. આથી, ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા અને વસવાટ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. SOG ટીમે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને બાંગ્લાદેશ પરત મોકલવા (ડિપોર્ટેશન) માટેની પ્રક્રિયા શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 9:36 am

વેજલપોર પાટિયા નજીક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ટક્કર:અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જતી લક્ઝરીના આગળના ભાગનો ભુક્કો, મુસાફરોનો આબાદ બચાવ

નેશનલ હાઇવે નંબર 48 પર વેજલપોર પાટિયા નજીક એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. આ બસ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ટર્ન લેતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, બસમાં સવાર અંદાજે દસ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ વેસ્મા આઉટ પોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે બસને મુખ્ય માર્ગ પરથી ખસેડી ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:46 am

વલસાડ GIDC પોલીસે 8.30 લાખથી વધુનો મુદ્દામાલ પરત કર્યો:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 29 અરજદારોને સામાન મળ્યો

વલસાડ GIDC પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત 29 અરજદારોને રૂ. 8.30 લાખથી વધુનો ગુમ થયેલો મુદ્દામાલ પરત કર્યો છે. આ કામગીરી દ્વારા પોલીસે પ્રજાલક્ષી અભિગમ અપનાવી લોકોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. વલસાડ જિલ્લામાં પોલીસ અને પ્રજાજનો વચ્ચે તાદાત્મ્ય વધારવા માટે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, 'પોલીસ પ્રજાનો મિત્ર છે' સૂત્રને સાર્થક કરવા ગુમ થયેલા સામાનને મૂળ માલિકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરાયા હતા. વાપી ડિવિઝનના DySP બી.એન. દવેએ તમામ પોલીસ સ્ટેશનોને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવા સૂચના આપી હતી. વાપી GIDC પોલીસ મથકના PI અમીરાજસિંહ જે. રાણાના નેતૃત્વ હેઠળની ટેકનિકલ સર્વેલન્સ ટીમે આ દિશામાં સક્રિય કામગીરી કરી હતી. પોલીસ ટીમે CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને કુલ 27 મોબાઈલ ફોન, 1 યમાહા R15 મોટરસાઈકલ અને 10 એલ્યુમિનિયમ ડાઈ સહિત રૂ. 8.30 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. કોર્ટમાંથી મંજૂરી મેળવી આ સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તેના મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યો. પોતાનો ગુમ થયેલો કિંમતી સામાન પાછો મળતાં અરજદારોએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:40 am

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમરેલી પોલીસ એલર્ટ:જિલ્લામાં મોડી રાતથી સુરક્ષા કડક, શંકાસ્પદ હિલચાલ અંગે સતત તપાસ

દિલ્હીમાં મોડી સાંજે થયેલા બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા બાદ ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં પોલીસ દ્વારા રેલવે સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર પણ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં મોડી રાતથી પોલીસ વડાની સૂચના હેઠળ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પીપાવાવ મરીન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાહનચાલકોના દસ્તાવેજો સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. દિલ્હીની ઘટના બાદ અમરેલી જિલ્લાના પીપાવાવ મરીન પોલીસ, રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી, બાબરા, અમરેલી તાલુકા, ધારી સહિતના તાલુકા મથકો અને હાઈવે પર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. શંકાસ્પદ હિલચાલ અંગે સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:36 am

લીમખેડામાં બિરસા મુંડાની જનજાતિય ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત:મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યએ બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા, રોશનીથી ઝગમગતા નગરમાં ઢોલ-નગારા સાથે યાત્રા યોજાઈ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે અંબાજીથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રાની રથયાત્રા ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ લીમખેડા પહોંચી હતી. લીમખેડાના બિરસા મુંડા ચોક ખાતે આદિજાતિ મંત્રી પી.સી. બરંડા, કૃષિ મંત્રી રમેશ કટારા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રથના આગમન સાથે જ બિરસા મુંડા ચોક પર ભાજપના કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના હજારો લોકો ઢોલ-નગારાં સાથે ઉમટી પડ્યા હતા. રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચોકથી આર્ટસ કોલેજ સુધી મોટી સંખ્યામાં લોકો રથ સાથે જોડાયા હતા. લીમખેડા નગરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આર્ટસ કોલેજ ખાતે યોજાયેલી જનસભામાં ૫૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું છે. તેમણે ૨૦૨૧થી બિરસા મુંડાના જન્મદિવસને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી અને દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવીને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. તેમણે ઉમેર્યું કે બિરસા મુંડાએ અંગ્રેજો સામે લડીને આદિવાસીઓને તેમના હક અને સ્વાભિમાનનો અવાજ આપ્યો હતો અને તેઓ દેશના રખેવાળ હતા. આ દિવસ એકતાનું પ્રતીક છે. મંત્રી રમેશ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આદિવાસીઓ મહેનતુ, દેશભક્ત અને જળ-જમીન-જંગલ સાથે જોડાયેલા છે. તેમણે આ કાર્યક્રમને ઉત્સવ સમાન ગણાવ્યો અને કહ્યું કે બિરસા મુંડાએ આઝાદી માટે શહીદી વહોરી હતી. તેમણે આદિજાતિ વિકાસ યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી. આદિજાતિ મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે બિરસા મુંડાએ આદિવાસી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં હતાં. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદીએ ગૌરવ વર્ષની શરૂઆત કરી છે અને ૧૫ નવેમ્બરે તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આદિવાસી વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સરકારી યોજનાઓના લાભો પણ લાભાર્થીઓને વિતરિત કરવામાં આવ્યા હતા. પ્રાયોજન વહીવટદાર દેવેન્દ્ર મીના સહિત અન્ય અધિકારીઓ, સરપંચો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જનજાતિય ગૌરવ યાત્રા ૭થી ૧૩ નવેમ્બર દરમિયાન ચાલુ રહેશે. દાહોદ જિલ્લામાં ગરબાડા, ધાનપુર અને લીમખેડામાં આ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:33 am

કચ્છના નાના રણમાં વરસાદી પાણી હજી ભરાયેલા:રસ્તો બંધ રહેતાં 3500 અગરિયા પરિવારોનું એન્યુમેરેશન ફોર્મ ભરવાનું અટક્યું

કચ્છના નાના રણમાં વરસાદને કારણે રસ્તો બંધ થતાં અંદાજે 3500 અગરિયા પરિવારો માટે એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી અટકી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે, પરંતુ રસ્તા બંધ હોવાથી અગરિયાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. ભારતના ચૂંટણીપંચના આદેશ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો – 60-દસાડા, 61-લીંબડી, 62-વઢવાણ, 63-ચોટીલા અને 64-ધ્રાંગધ્રામાં તા. 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026) જાહેર કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લામાં મતદારયાદી સુધારણાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સુધારણા કાર્યક્રમના 'એન્યુમેરેશન' તબક્કા હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 1518 મતદાન મથકો પર 1518 બુથ લેવલ ઓફિસરો (BLOs) દ્વારા હાઉસ ટુ હાઉસ મુલાકાત શરૂ કરાઈ છે. તેઓ કુલ 14,81,991 મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવી રહ્યા છે. આ કામગીરી તા. 4 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. કચ્છના નાના રણમાં સુરેન્દ્રનગર જિલ્લાના 44 ગામોના અંદાજે 3500 અગરિયા પરિવારો મીઠું પકવવા ગયા છે. ગત 28, 29 અને 30 ઓક્ટોબરના રોજ સતત ત્રણ દિવસ મુશળધાર વરસાદ પડતાં અગરિયા સમુદાયની મહેનત પાણીમાં ગઈ હતી. એકબાજુ રાજ્ય સરકારે ખેડૂતોને કમોસમી વરસાદ માટે અંદાજે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, જ્યારે અગરિયા સમુદાયને કોઈ સહાય ચૂકવવામાં આવી ન હતી. હાલમાં રણમાં જવા-આવવાનો રસ્તો ઠપ્પ હોવાથી આ 3500 અગરિયા પરિવારો માટે એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી ખોરંભે પડી છે. જો અગરિયા સમુદાય સમયસર આ ફોર્મ નહીં ભરી શકે, તો તેમના અસ્તિત્વ પર જોખમ ઊભું થઈ શકે છે. અગરિયા સમુદાય દ્વારા તંત્ર આ બાબતે યોગ્ય આયોજન કરી કામગીરી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:31 am

દિલ્હી બ્લાસ્ટ બાદ તાપીમાં સુરક્ષા કડક:ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે. તાપી જિલ્લાનો પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું છે. જિલ્લાના ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ઉચ્છલ અને સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પર પોલીસે તીવ્ર ચેકિંગ હાથ ધર્યું છે. દરેક વાહન અને મુસાફરોની તપાસ સાથે શંકાસ્પદ સામાન અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડર વિસ્તાર હંમેશા સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ હોય છે, તેથી આ ચેકિંગ એક પૂર્વસાવચેતીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોની ખાસ તપાસ હાથ ધરાઈ છે અને તમામ પોલીસ સ્ટેશનોને સજાગ રહેવા સૂચના અપાઈ છે. સ્થાનિક નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જોવામાં આવે તો તરત પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. તાપી પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ વધારી રહ્યું છે જેથી જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે. તંત્ર દ્વારા જણાવ્યું છે કે સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:31 am

દિલ્હી બ્લાસ્ટ બાદ વલસાડમાં હાઈ એલર્ટ:એસપીના આદેશથી હોટલ, રેલવે સ્ટેશન, કોસ્ટલ વિસ્તારમાં ચેકિંગ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ વલસાડ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના કડક આદેશ બાદ સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને વ્યાપક ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ આદેશ અંતર્ગત, વલસાડ જિલ્લાની તમામ હોટલો, લોજ અને ગેસ્ટહાઉસમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ માટે વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જિલ્લા પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારોમાં તેમજ આંતરરાજ્યમાંથી આવતા વાહનોની વિગતવાર તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ વાહનો અને તેમાં સવાર લોકોના સરનામા તથા તેમની ઓળખની ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પ્રવેશતા દરેક વ્યક્તિ વિશે પૂરતી માહિતી મેળવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા ડીએસપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને કડક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. વલસાડ રેલવે સ્ટેશન સહિત તમામ રેલવે સ્ટેશનો પર વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેનોના જનરલ કોચમાં RPF અને GRPની સંયુક્ત ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પ્લેટફોર્મ, પાર્કિંગ અને આસપાસના વિસ્તારોમાં ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો, હાઈવે અને ચેકપોસ્ટો પર પણ વાહનોની સઘન ચકાસણી ચાલુ છે. સમગ્ર વલસાડ જિલ્લામાં પોલીસ તંત્ર સતર્કતા અને સુરક્ષા વધારવા માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહ્યું છે. વલસાડ જિલ્લા મરીન પોલીસની ટીમ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ મધ દરિયે ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માછીમારો તેમજ બાતમીદારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ ગતિવિધિ ધરાવતા ઈસમો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો નજીકના પોલીસ મથક અથવા 112 નંબર પર ફોન કરીને જાણ કરે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:29 am

દિલ્હી બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લામાં પોલીસ સતર્ક:માધવપુર પોલીસ દ્વારા સઘન ચેકીંગ અભિયાન

નવી દિલ્હીમાં આજે સાંજે કારમાં થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે પોરબંદર જિલ્લાનું પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. આ સતર્કતાના ભાગરૂપે, માધવપુર શહેર પોલીસ અને માધવપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સોમનાથ-પોરબંદર હાઇવે પર સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન હાઇવે પરથી પસાર થતા વાહનોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જાહેર સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું અને હાઇવે નજીક આવેલી હોટલો તથા ધાબાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ વાહનચાલકો અને મુસાફરોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવવા માટે પી.આઈ. સહિતનો માધવપુર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે હાજર રહીને કામગીરીમાં વ્યસ્ત રહ્યો હતો. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અને તપાસ કામગીરીમાં સહકાર આપવો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:27 am

વોન્ટેડ આરોપી ઝડપાયો:ધાનપુર અને મધ્યપ્રદેશના 2 વોન્ટેડ આરોપી ઝડપાયા

દાહોદ પેરોલ ફર્લો સ્કવોર્ડના નેતૃત્વ હેઠળની ટીમે લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, શરીર સંબંધિત ગંભીર ગુનાઓ તેમજ પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી હતી. દરમિયાન, પી.આઇ. સી.આર. દેસાઈને મળેલી ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. લીલેશ કવિત વાખળા ધાનપુરના પીપરગોટા ગામનો રહેવાસી છે અને ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો. જ્યારે રાહુલ દિપસીંગ ઝાલા મધ્યપ્રદેશના થાંદલાનો રહેવાસી છે અને ચાકલિયા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. પોલીસે આ બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડીને વધુ કાર્યવાહી માટે તેમને જે તે પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પેરોલ ફર્લો સ્કવોર્ડની આ સફળ કામગીરીથી નાસતા ફરતા અન્ય આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:17 am

દારૂ ઝડપાયો:ડેમલીમાં ઘર અને ગાડીમાંથી 3.29 લાખના દારૂ સાથે એક પકડાયો

શહેરા તાલુકાના ડેમલી ગામે પોલીસે મકાન તેમજ ગાડીમાંથી 3.29 દારૂના જથ્થા સાથે એકને પકડી પાડયો છે. પોલીસે 5.80 લાખનો મુદ્દામાલ કબજે કરીને શહેરા પોલીસ મથકે 3 સામે પ્રોહીનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. શહેરા તાલુકાના ડેમલી ગામે રહેતા મહેન્દ્ર ઉર્ફે ભલો રંગીત પટેલએ ભારતીય બનાવટનોદારૂ ઇકો ગાડીમાં મંગાવ્યો છે.અને હાલમાં તેના ઘરે વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. તેવી બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ડેમલી ગામે બાતમીવાળા ધર પર છાપો માર્યો હતો. પોલીસે મકાન અને ઇક્કો ગાડીમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3,29,688 રૂપીયાની 1584 દારૂની બોટલો, 2.50 લાખની ગાડી તેમજ 1 હજાર રૂપીયાનો મોબાઇલ મળીને કુલ 5.80 લાખના મુદ્દામાલ સાથે મહેન્દ્ર ઉર્ફે ભલો રંગીત પટેલને ઝડપી પાડયો હતો. પોલીસે પકડેલા મહેન્દ્રની પોલીસે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો શહેરાના છોગાળાના ભારતભાઇ શનાભાઇ પગીનાએ ગાડી ચાલક સરદાર ભાઇને દારૂ ભરીને આપીને મને આપવા જણાવ્યું હતું. અને પોલીસની ગાડી આવતા ચાલક સરદારભાઇ નાસી ગયો હોવાની કબુલાત કરી હતી. પોલીસે 5.80 લાખનો મુદ્દામાલ કબજે કરીને શહેરા પોલીસ મથકે 3 સામે પ્રોહિનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના દરોડાના પગલે ફફડાટ ફેલાયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:04 am

ગ્રામજનોનો વિરોધ‎:અમારું ગામ આર્થિક રીતે પછાત છે તેથી અમે પાલિકાનો વેરો ભરી શકીએ એમ નથી

શહેરા નગરપાલિકાના વોર્ડ સીમાંકનમાં પાલિકાની આસપાસ આવેલ 7 જેટલી ગ્રામ પંચાયતોનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે 7 ગ્રામપંચાયતો પૈકીની વરિયાલ અને લાભી ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ ન કરવા બાબતે ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું છેકે, અમારુ ગામ કડાણા ડેમ પ્રોજેક્ટ અંતર્ગત વિસ્થાપિત વિસ્તાર છે અને અહીં રહેતા પરિવારો અનુસૂચિત જનજાતિ ટ્રાયબલ વિસ્તાર તરીકે જાહેર કરાયેલા વિસ્તારમાં વસવાટ કરે છે. અમારા ગામનો નગરપાલિકામાં સમાવેશ કરાયો છે. જે સામાજિક અને સાંસ્કૃતિક તેમજ આર્થિક હિત વિરૂદ્ધ છે અને સંવિધાન તેમજ આદિવાસી વિસ્તાર સંબંધિત જોગવાઇઓનું ઉલ્લંઘન કરે છે. જેથી અમારા વરિયાલ ગામનો નગરપાલિકામાં સમાવેશ ન કરાય તેવો ઉલ્લેખ કરાયો છે. લાભી ગામના ગ્રામજનોના આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમો લાભી ગ્રામ્ય વિસ્તારમાં મકાનો બિલકુલ છુટાછવાયા છે. અમારુ ગામ નગરપાલિકા વિસ્તારમાં જવાથી કોઈ વિકાસના કામો જેવા કે વીજળી તથા પાણી અને રસ્તાઓને પુરા ગામ વિસ્તારને સાંકળી શકાય તેમ નથી. ગામલોકો નાની મોટી છૂટક મજૂરી કામ સાથે સંકળાયેલા છે. ગામમાં કોઈપણ પ્રકારના ધંધાઓ આવેલા નથી. અમારુ ગામ આર્થિક રીતે પછાત હોઇ વેરો ભરી શકે તેવી પરિસ્થિતીમાં નથી. જેથી લાભી ગામને નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવા રજૂઆત કરવામાં આવી હતી. વરિયાલ ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા ક્લેકટરને પણ રજુઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:03 am

હત્યારા પોલીસના સંકજામાં:જેસિંગપુરમાં પત્ની સાથે સંબંધની શંકાએ શ્રમિકની હત્યા કરનાર બે શ્રમિકો ઝડપાયા

લુણાવાડાના નવી વસાહત જેસિંગપુર ખાતે રહેતા ગીરીશભાઈ અંબાલાલ પટેલના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતુ. ત્યારે તા.6 ના રોજ તેમણે તેમના મકાનની પાછળ એમના ત્યાં કામ કરતા શ્રમિક મંગળભાઈ જવરાભાઈ નાયકનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિ અકસ્માત જેવું આ ઘટનામાં દેખાતા પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યા થઇ હોવાનું જણાતા હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. તથા મૃતક સાથે કામ કરતા કેટલાક ઈસમો ગાયબ થઈ ગયા હોવાથી પોલીસે શંકાના આધારે મહેશ વજેસિંહ નાયક અને મહેશ મણિલાલ નાયકને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. અને પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. જે અંગે ડીવાઈએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું તમામ શ્રમિકો છેલ્લા દોઢ મહિનાથી એક સાથે રહેતા હતા અને જે ઘટના બની એ દિવસે સાંજે શ્રમીકો વચ્ચે મહેશ વજેસિંહ નાયકને તેની પત્ની પર મંગળભાઇ જવરાભાઇ નાયક સાથે સંબંધ હોવાનો શક હતો. અને શંકા વહેમના આધારે ઝગડો થયો હતો. જેમા મહેશભાઈ વજેસિહ નાયક તેમજ મહેશભાઈ મણિલાલ નાયક દ્વારા મંગળભાઈ જવરાભાઇ નાયકને લાકડીનો માર મારી મોત નિપજાવવામાં આવ્યુ હતુ. અને હત્યાને અકસ્માતમાં ફેરવવા તેમણે મૃતદેહને ધાબા પરથી નીચે ફેંકી દીધો હોવાનુ જણાવ્યુ હતુ. આમ લુણાવાડા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. અને આગળની વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:02 am

ગંદું ગોબરું સ્માર્ટ સિટી:વોર્ડ 3ની મારવાડી ચાલમાં ઉભરાતી ગટરોથી ગંદકી

દાહોદ શહેરને 'સ્માર્ટ સિટી' તરીકે વિકસાવવાના સપના વચ્ચે, શહેરના ઘણા વિસ્તારોની વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ખાસ કરીને વોર્ડ નં. 3 માં આવેલી મારવાડી ચાલના રહીશો આજે નગરપાલિકાના ઉદાસીન વહીવટના કારણે નર્ક સમાન જીવન જીવવા મજબૂર બન્યા છે. જ્યાં આધુનિક સુવિધાઓ મળવી જોઈતી હતી. ત્યાં લોકો આજે ગંદકી, ઉભરાતી ગટર અને તૂટેલા રસ્તાઓ જેવી પાયાની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.કે.કે. સર્જિકલ હોસ્પિટલની બાજુમાં આવેલી સાંકડી ગલીઓમાં ભૂગર્ભ ગટરનું ગંદું પાણી સતત રસ્તા પર વહે છે. એક જ ચેમ્બરમાં ચારથી પાંચ જેટલા ગેરકાયદે કનેક્શન આપવામાં આવ્યા છે. જેના કારણે ગટર વારંવાર ઉભરાય છે. આ લાઇનમાં હોસ્પિટલોના શૌચાલયના કનેક્શન પણ જોડાયેલા હોવાથી આખો વિસ્તાર ચોવીસ કલાક અસહ્ય દુર્ગંધથી ઘેરાયેલો રહે છે. જે જાહેર સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. વિસ્તારમાં ચારેય તરફ કચરાના ઢગલા જોવા મળે છે. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આ વિસ્તારમાં પગ પણ મૂક્તા નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ડોર-ટુ-ડોર કચરા વાન અહીં ક્યારેય પહોંચતી નથી. આથી સ્થાનિકો પોતાના સ્તરે સફાઈ અને કચરાના નિકાલ માટે મજબૂર બન્યા છે. મારવાડી ચાલના જાગૃત રહીશોએ આ ગંભીર સમસ્યાઓ અંગે નગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરોને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ તંત્ર તરફથી માત્ર ઠાલા વચનો જ મળ્યા છે. જો વહેલી તકે તૂટેલા રસ્તાઓની કામગીરી નહીં કરવામાં આવે અને ગટર તથા સફાઈની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આવનારી ચૂંટણીઓમાં સમૂહમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ રહિશો દ્વારા ઉચ્ચારાઇ છે. રોડનું રીપેરિંગ અધૂરું, ગલીમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ અમારી ગલીમાં ગટરના હાઉસ કનેકશન માટે રોડ ખોદકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને આશરે સાતથી આઠ મહિના વીતી ગયા છે પરંતુ આજદિન સુધી રોડનું રીપેરિંગ કરવામાં આવ્યું નથી. ચેમ્બરો બનાવ્યા બાદ રોડ ઉપરનો માલમસાલો પણ આજ સુધી દૂર કરવામાં આવ્યો નથી, જેના કારણે વાહનવ્યવહાર તેમજ ચાલતા લોકોને ભારે તકલીફ પડે છે. તે ઉપરાંત અમારી ગલીમાં સ્ટ્રીટ લાઇટની પણ અછત છે. વારંવાર રજુઆત કરવા છતાં પણ આખી ગલીમાં માત્ર બે-ત્રણ લાઇટો જ લગાવવામાં આવી છે, જે પૂરતી નથી. રાત્રિના સમયે અંધકાર રહેતા લોકોને તેમજ બાળકોને જોખમ થાય છે.> રોહનભાઇ બુમાની, સ્થાનિક હોસ્પિટલથી લઇને આખી ગલી સુધીના રસ્તે ગંદકી રહે છેકે.કે. હોસ્પિટલથી લઇને આખી ગલી સુધીનો રસ્તો એકદમ ખરાબ હાલતમાં છે. રસ્તામાં ખાડા અને કાદવને કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ગલીમાં ગંદકી ભરેલી રહે છે અને સફાઈ માટે કોઈ કર્મચારી આવતો નથી. હોસ્પિટલમાંથી નિકળતું ખરાબ પાણી સીધું રસ્તામાં વહે છે, જેના કારણે દુર્ગંધ ફેલાય છે. ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને કિચડના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બને છે. સ્થાનિક રહેવાસીઓ વારંવાર ફરિયાદો કર્યા છતાં કોઈ પગલા લેવાયા નથી. લોકો તંત્રને તાત્કાલિક સફાઈ અને નિકાશની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે.> સંજયભાઇ નિનામા,સ્થાનિક

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 8:00 am

પાણીનો વેડફાટ:અંકલેશ્વરના દિવા રોડ પર જર્જરિત લાઇનમાં ભંગાણને કારણે હજારો લિટર પાણી વેડફાયું

અંકલેશ્વર દિવા રોડ પર એક વર્ષ પૂર્વે જ બનેલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડવાથી રોડ પર હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. અંકલેશ્વર પાલિકાની મુખ્ય લાઇનના નવીનીકરણ દરમિયાન મુખ્ય લાઈન કોન્ટ્રાક્ટરે તોડી નાખી હતી.જે હજુ સુધી કાર્યરત થઇ નથી. જેને લઇ છેલ્લા 3 દિવસથી જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં ટેન્કરથી પાણી આપવામાં આવી રહયું છે. આ વચ્ચે હવે દીવા રોડ પર ગત વર્ષે જ નવનિર્મિત રોડ નીચે પાણી લાઈનમાં ભંગાર સર્જાતા રોડ પર પાણીના જરા ફૂટ્યા હતા. પાલિકાને જાણ થતાં નવો નકોર રોડ તોડી રીપેરીંગ વર્ક શરુ કરવામાં આવ્યું હતું. યુદ્ધના ધોરણે રીપેર વર્ક કરી અંતે બપોર બાદ સમારકામ પૂર્ણ કરી પુનઃ પાણી પુરવઠો શરૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પૂર્વે જ આ રોડ બન્યો હતો. જેમાં લાઈન લીકેજ થતા રોડ તૂટ્યો છે. ત્યારે નવા રોડ પર ચોમાસા દરમિયાન ગાબડાં પડવાની પણ શરૂઆત થઇ છે.રોડ પર પડેલા ગાબડા પુરવા તેમજ પાણી લાઈન ને લઇ નુકસાન થયેલ રોડના રીપેરિંગની માગ સ્થાનિકો કરી રહયાં છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:58 am

ધારાસભ્યની હાજરીમાં સ્નેહ સંમેલન કાર્યક્રમ:‘હર ઘર સ્વદેશી’ના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને ઉપયોગ કરવા ધારાસભ્યનો આગ્રહ

શહેરાના ચાંદલગઢ ખાતે શહેરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ સંમેલન કાર્યક્રમ ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમા આગેવાનો, શુભેચ્છકો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેરાના ચાંદલગઢ ખાતે ખોડીયાર માતાજીના સાનિધ્યમાં શહેરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ સંમેલન કાર્યક્રમ ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિતીમાં યોજાયો હતો. સંમેલનમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સૌ કર્મષ્ઠ કાર્યકરો અને નાગરિકો દ્વારા કરાયેલી ઉમળકાભેર આતિથ્ય સરભરા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અને ''''આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન'''' અંતર્ગત ''''હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી''''ના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા અને તેનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો. જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને શહેરા વિધાનસભા વિસ્તારને વિકાસના નવા શિખરો પર લઈ જઈશું. અને તેમને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું અને સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોની વિગતો આપી હતી. સ્નેહ સંમેલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક, શહેરા તાલુકા-નગરના પ્રભારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, જિલ્લા-તાલુકા-નગરના સંગઠનના હોદ્દેદારો, સહકારી આગેવાનો, સરપંચો, પેજ સમિતિના પ્રમુખ તથા સભ્યો, બૂથના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:57 am

વડાપ્રધાનના કાર્યક્રમ માટે અનોખી રીતે આમંત્રણ‎:આદિવાસી પરંપરા અનુસાર લાલ ચોખાના માધ્યમથી ઇજન અપાયું

મહાન સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવવામાં આવનાર જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીનો ભવ્ય પ્રારંભ ડેડીયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થવાનો છે. ત્યારે આ અવસરને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે ડેડીયાપાડા નગર ખાતે પ્રભાત ફેરી કરી રામ ધુન કરી સાથે લાલ ચોખા આપી ઉત્સાહભેર લોકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ડેડીયાપાડાના ભાજપ આગેવાન હિતેશ વસાવા એ જણાવ્યું હતું કે ભાગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિતે ઉમરગામ થી કેવડિયા સુધીની જનજાતિ ગૌરવ યાત્રાનો શુભ પ્રારંભ કરી ગામે ગામ આ યાત્રા હાલ ફરતી કેવડિયા સુધી આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ ડેડીયાપાડા જેવા આદિવાસી વિસ્તારમાં કન્યાકેળવણી નો રથ નો પ્રારંભ કરાવી આ વિસ્તારમાં શિક્ષણ ની જ્યોત પ્રગટાવી હતી. ડેડીયાપાડા ખાતે પ્રધમનત્રી જાતે આવવાના હોય જિલ્લા અધ્યક્ષ નીલ રાવની સૂચનાથી અમે ડેડીયાપાડા નગર ખાતે પ્રભાત ફેરી કરી લાલ ચોખા આપી લોકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:56 am

ભાજપના ધર્મેશ કલાલને 8 જ મત મળ્યા‎:દેવગઢ બારિયા નગર પાલિકામાં ભાજપના જ બળવાખોરોએ ભગવો ઉતારી સુકાન સંભાળ્યું

લાંબા સમયથી સત્તા પર રહેલી ભાજપે દેવગઢબારિયા નગરપાલિકામાં સત્તા ગુમાવી છે. સોમવારે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. તેમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા બળવાખોર સુધરાઈ સભ્ય નીલ સોનીએ અપક્ષો અને કોંગ્રેસના સમર્થનથી 16 મત મેળવી પ્રમુખ પદે વિજય થયા હતાં. જયારે ભાજપના પુર્વ પ્રમુખ ધર્મેશ કલાલને આઠ મત મળતા પરાજય થયો હતો. દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી સોમવારે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ ચૂંટણીમાં નગરપાલિકાના તમામ 24 સભ્યો હાજર રહ્યા હતા. લાંબા સમયથી સત્તા પર રહેલા ભાજપે વર્તમાન પાલિકાની ચૂંટણીમાં પણ સત્તા કબજે કરી હતી. જોકે ટૂંક સમયમાં જ ભાજપના જ છ સભ્યોએ પ્રમુખ સામે આઠ અપક્ષો અને બે કોંગ્રેસના સભયો સાથે મળી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અને ભાજપના પ્રમુખ ધર્મેશ કલાલને પ્રમુખ પદેથી ઉતારી દીધા હતા. ભાજપ સામે બળવો કરનારા તમામ છ સભ્યોને જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. દરમિયાન 10 નવે.ના રોજ દેવગઢ બારિયા નગર પાલિકામાં પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણી પુર્વે રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે બળવાખોર સભ્યોમાંથી નિલ સોની અને ભાજપે પ્રમુખ પદ માટે ધર્મેશ કલાલને મેદાનમાં ઉતાર્યા હતાં. પરંતુ નીલ સોનીએ અન્ય પક્ષો અને અપક્ષોના સમર્થનથી કુલ 16 મત મેળવીને વિજય હાંસલ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:52 am

ભાસ્કર એક્સક્લુસિવ:બારિયા-ધાનપુર તાલુકાના મહત્તમ ગામોમાં અધૂરા કામો વધુ મળ્યાં

દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના કામોના કૌભાંડમાં રાજય સરકાર દ્વારા સ્પેશિયલ તપાસ ટીમ બનાવવામાં આવી હતી. જેની તપાસ પુર્ણ કરી કમિટિએ રાજય સરકારને રિપોર્ટ સબમીટ કરી દીધો છે. જોકે રિપોર્ટમાં મનરેગાના મોટાભાગના કામો અધુરા મળ્યા હોવાની વિગતો બહાર આવી હતી. દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને ધાનપુર તાલુકાના બહુચર્ચિત મનરેગા કૌભાંડ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સ્થળ પર થયેલા કામોની હકીકતલક્ષી તપાસ આખરે પૂર્ણ થઈ છે. ગ્રામ વિકાસ કમિશ્નરના આદેશથી રાજ્યના 12 જિલ્લામાંથી આવેલા 30 અધિકારીઓની 10 ટીમો દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ ટીમોએ મુખ્યત્વે દેવગઢ બારિયાની 80 અને ધાનપુર તાલુકાની 34 મળીને કુલ 114 ગ્રામ પંચાયતોમાં મનરેગા અંતર્ગત થયેલા 2282 કામોની સ્થળ તપાસ કરી હતી. .તપાસ દરમિયાન મોટા ભાગના સ્થળો પર અધૂરાં કામો વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા. સ્થળ પર નિયમો અનુસાર પૂરતું મટીરીયલ પણ મળી આવ્યું ન હતું. આ તપાસ માટે આવેલી ટીમોને દાહોદના મનરેગાના 282 સ્થાનિક કર્મચારીઓએ મદદ કરી હતી.આ તમામ કામોની હકીકતલક્ષી તપાસ પૂર્ણ કરીને તેનો અહેવાલ રાજ્ય કક્ષાએ સુપરત કર્યો છે. ભાસ્કર ઇનસાઈડએજન્સીઓનું હજુ 160 કરોડનું ઉઘરાણું બાકીવર્ષ 2021 થી 2024 દરમિયાન મનરેગાના કામોમાં મટિરિયલ પૂરૂં પાડનારી એજન્સીઓ જિલ્લા પંચાયત પાસે 160 કરોડ રૂપિયા લેવાના હાલના વર્તમાન સમયમાં બાકી નીકળે છે. આ મનરેગાના કામોની બાકી નીકળતી રકમ તત્કાલીન ડીડીઓ રચિત રાજ તેમજ નેહા કુમારીના કાર્યકાળના સમય દરમિયાનની છે. મટિરિયલના સંખ્યાબંધ કામોમાં જે તે સમયે ગેરરીતિ આચરી હોવાનું સ્થળ ચકાસણી તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સામે આવ્યું હતુ. જેથી આ બાકી નીકળતી રકમમાં હાલના ડીડીઓ દ્વારા પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. વિગતો કોર્ટમાં રજૂ કરીશું ક્રીમીનલ કેસ ચાલી રહ્યો છે. એક્ટિવ ઇન્વેસ્ટિગેશન છે. જેથી વિગતો નહીં આપી શકાય તે કોર્ટમાં રજૂ કરીશું.>સ્મિત લોઢા,ડીડીઓ,દાહોદ

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:51 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાં બીએલઓને સાંજે કૂતરા પાછળ પડવાનો ડર, નશો કરેલી વ્યક્તિની પૂછપરછનો ફફડાટ

રાજયભરમાં એસઆઇઆર મુજબ મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલુ થઇ છે. ત્યારે બીએલઓની કામગીરી કરતાં શિક્ષકોની હાલત કફોડી બની છે. દિવસે બાળકોને ભણાવવાની સાથે સાંજ પડતાં જ મતદાર યાદીની કામગીરી થાય છે. પરંતુ પંચમહાલના ગ્રામીણ અને અભણ વસતી ધરાવતાં જિલ્લામાં બીએલઓ કફોડી સ્થિતિમાં મુકાતા હોય છે. સાંજ પડતાં જ ગ્રામીણ વિસ્તારોમાં જતાં બીએલઓને કુતરાઓનો ડર લાગી રહ્યો છે. તો કેટલાક સ્લમ વિસ્તારમાં નશો કરીને ફરતાં લોકોની પૂછપરછ કરવાનો પણ તેમને ભય સતાવી રહ્યો છે. તો ફોર્મમાં વિવિધ વિગતો ભરવામાં વધુ સમય જતાં નક્કી તારીખ સુધીમાં કામગીરી પુર્ણ થશે કે કેમ ? તે અંગે પણ સવાલો ઉભા થયા છે. રાજ્યમાં એસઆઇઆર મુજબની મતદાર યાદી સુધારણ સાથે પંચમહાલમાં પણ 1479 બીએલઓને કામગીરી સોપવામાં આવી છે. જે કામગીરી 4 નવેમ્બરથી શરૂ કરીને 4 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાની છે. બીએલઓની મોટા ભાગની કામગીરી શિક્ષકોને આપવામાં આવી છે. જેથી શિક્ષકો શાળા સમયમાં બાળકોને ભણાવ્યા બાદ મતદાર યાદીની કામગીરી કરવા ઘરે ઘરે જઇ રહ્યા છે. જેમાં બીએલઓ હાલ ઘરે ઘરે મતદારયાદીના ફોર્મ વિતરણની કામગીરી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અભણ મતદારો હોવાથી બીએલઓને જાતે માહીતી ભરવી પડતી હોય છે. જેથી બીએલઓને એક ફોર્મ ભરતા 15 મીનીટથી અડધો કલાક સુધીનો સમય લાગી જાય છે. તેમજ ગ્રામ્યકક્ષાના મતદારો પાસે ફોર્મ ભરવાની વિગતો સાથે ફોટા અને આધારકાર્ડ ન હોવાથી મોટા ભાગના સમયનો વ્યય થાય છે. બીએલઓ જાય ત્યારે ઘર બંધ મળે તો પાછુ જવું પડે છે. ભરેલા ફોર્મ ઓનલાઇન અપલોડ કરવામાં પણ સમય લાગે છે. જેમા ગલીઓના ફુતરાઓથી ભય સાથે સ્લમ વિસ્તારમાં નશાવાળા પણ મતદારો મળતા ડર લાગી રહ્યો છે.ફોર્મ ભરવામાં અડધો કલાક કરતા વધુ સમય લાગતો હોવાથી કામગીરી 4 ડીસેમ્બર સુધી પૂર્ણ કરવા પર શંકા સેવાઇ રહી છે. ફોર્મમાં વિગતો કેવી ભરવાની ખબર નથી બીએલઓ ફોર્મ આપીને જતા રહ્યા હતા. ફોર્મમાં વિગતો કેવી રીતે ભરવાની ખબર નથી. બે ફોટા ન હોવાથી નવા ફોટા પડાવ્યા બાદ આધારકાર્ડની વિગતો ફોર્મમાં ભરી છે. બીએલઓ હજુ ફોર્મ લેવા આવ્યા નથી. જ્યારે મારી પુત્રવધુ બહાર ગામની હોવાથી તેના પિતાના મતદાર યાદીનુ નામ, વિગતો મંગાવી છે. આ બધી કામગીરી પૂર્ણ કરવામાં સમય વધારે લાગશે. > રમણભાઇ પરમાર , મતદાર ઘરે જઇએ તો મતદારોએ માહિતી તૈયાર ન રાખતા સમયનો ઘણો વ્યય થાય છેજિલ્લામાં બીએલઓ મતદારના ઘરે જાય ત્યારે તેઓની પાસે ફોટા, આધારકાર્ડ કે અન્ય કોઇ માહીતી હાજર ન હોવાથી બીએલઓનો સમય વેડફાય છે. ફોર્મ ભરતી વખતે બીએલઓ ફોર્મ ભરવાની વિગત માગતા મતદાર પાસે ન હોવાથી ફરીથી આવવુ પડે છે. તેમજ બીએલઓ શાળાના સમય પહેલા કે પછી કામગીરી કરવા જતા મતદારો આવા સમય આવવાને લઇને પ્રશ્નો કરે છે. જાગૃતિ અને માર્ગદર્શન ન હોવાથી મતદાર પાસે વિગતો ન હોવાથી બીએલઓની રજુઆત બાદ પાલિકાના કર્મીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં સરપંચને મતદારને જાગૃત કરવા જાણ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યુ છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:49 am

દારૂ ઝડપાયો:મોરબી તાલુકાના ગુંગણમાં વોંકળામાંથી 23.49 લાખનો દારૂ કબજે, આરોપી ફરાર

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે હકીકત મળી હતી કે, મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં વીડીમાં આવેલા મેલડી માતાજીનાં મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કાંટમાં વોંકળામાં અરમાનભાઇ જુણેજા નામનો શખ્સ ખાખી કલરના પુઠ્ઠાના બોકસની હેરાફેરી કરી શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે જેથી કરીને ત્યાં તાલુકા પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 312 બોટલ દારૂ, 120 બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે 3.49 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, આરોપી અરમાનભાઇ જુણેજા રહે. ઉમા ટાઉનશીપની સામે વેજીટેબલ રોડ મફતીયાપરા મોરબી વાળો ત્યાં હાજર ન હોવાથી તેની સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પકડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:39 am

1 વર્ષથી કામગીરી ટલ્લે ચડી હોઇ વાહનચાલકોની વેદના વધી‎:વાંકાનેરની જામસર ચોકડીથી માટેલ સુધીનો રસ્તો ગાડામાર્ગને પણ સારો કહેવડાવે તેવો !

વાંકાનેર તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ માટેલ ગામથી જામસર ચોકડીના માર્ગની હાલમાં ચાલી રહેલી નવિની કરણની કામગીરી એક વર્ષથી ગોક ગાય ગતીએ ચાલતી હોવાથી કાયમી રાહદારીએ, યાત્રીઓને પારાવાર નુકસાની થાય છે તેમજ અકસ્મ તોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલું જ નહીં, આ માર્ગ પર મોટા સ્પીડ બ્રેકર્સ બનાવેલા હોય જેથી રાત્રીના સમયે બાઇક ચાલકોના અકસ્માત થતા અને ફોરવ્હીલ વાહનોને પણ નુકસાન થતુ હોય રસ્તાનુ કામ પુર્ણ કરવા માટેલ સરપંચ દ્વારા મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારીને તે અંગે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. ખોડિયાર ધામ માટેલ ખાતે આખું વર્ષ દર્શન ર્થીઓ દર્શન કરવા આવે છે જેમા પૂનમ , રવિવાર તેમજ તહેવા રોમાં ગુજરાત તથા બહારના રાજ્યોમાં માતાજીના દર્શન કરવા ભક્તોનો ઘસારો રહેતો હોય છે ત્યારે જામસર ચોકડીથી માટેલ ધામ જવાનો રસ્તો અતિબિ સ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. જેના લીધે બહારથી આવતા દર્શન ર્થીઓ તથા ખાસ કરીને સ્થાનિકો માટે આ રસ્તો મુસી બતનો ગઢ બની ગયો છે ત્યારે આ રસ્તો બનાવવા માટેલ ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન હર્ષદભાઈ દુધરેજીયા દ્વારા માર્ગ મકાન વિભાગને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રસ્તાનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:38 am

150 કિલોના મહાકાય મગરનું દિલધકડ રેસ્ક્યૂ:વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી સમયે 9.5 ફૂટનો ખૂંખાર મગર ખાડામાં ફસાયો, 30 ફૂટ ખાડામાંથી 2 કલાકની જહેમત બાદ ક્રેનની મદદથી ઊંચકીને બહાર કાઢ્યો

વડોદરા પાસે મારેઠા ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી સ્થળે નદીની બાજુમાં કામગીરી દરમિયાન મહાકાય મગર આવી જતા ફફડાટ ફેલાયો હતો. પીલ્લરની ચાલી રહેલી કામગીરી સ્થળે 9.5 ફૂટનો મહાકાય મગર આવી જતા જીવદયા હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગે મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ કામગીરીમાં મહાકાય મગરને બહાર કાઢવો મુશ્કેલ હોવાથી ક્રેનની મદદથી અંદાજે 150 કિલોના મગરને 30 ફૂટ ઊંડા ખાડામાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો અને ફરી વિશ્વામિત્રી નદીમાં છોડી દેવામાં આવ્યો હતો. ચોમાસાની સીઝન પૂરી થઈ ગઈ છે, જોકે શહેરમાં વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે, જેને પગલે વડોદરા શહેરમાં મગરો નીકળવાનો સિલસિલો હજી યથાવત છે. આ દરમિયાન મારેઠા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 9.5 ફૂટનો એક મગર દેખાઈ આવતા વડોદરાના જીવદયા પ્રેમી હેમંત વડવાળાની ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કરીને ખાડામાં ફસાયેલા મગરને 2 કલાકની ભારે જહેમત પછી 30 ફૂટ ઊંડા કીચડ વાળા ખાડામાંથી ક્રેન દ્વારા મગરને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુમાં હેમંત વઢવાણા, સંદીપ ગુપ્તા , ભાવેશ બારીયા , વિપુલ ચાવડા, દિક્ષિત પટેલ, અને મયુરભાઈ સહિતના સ્વયંસેવકો જોડાયા હતા. અહીં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે તે જગ્યાએ પીલ્લર કામગીરી સ્થળે 9.5 ફુટનો મહાકાય મગર આવી જતા કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. બાજુમાં જ નદી હોવાથી અહીં મગરો આવતા હોય છે અને કામગીરી સ્થળે કીચડ અને પાણી હોવાથી અહીંયા મગર માઇગ્રેટ કરતા હોય છે. જીવદયા પ્રેમી હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ખાડામાં મગર આવી ગયો હોવાનો કોલ મળ્યો હતો, તેથી અમે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. અમે લોકોએ મગરને રોપ અને હાઈડ્રા દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે આ પ્રયત્નમાં સફળ થયા હતા. વિશ્વામિત્રી નદીની વચ્ચોવચ જ આ પિલર છે, જેથી કરીને મગર અહીં આવી જાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:38 am

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય‎સભા:મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીલક્ષી સામાન્ય‎સભા ! 9.21 કરોડના વિકાસ કામને ફટાફટ બહાલી‎

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોએ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડ રસ્તાના નાની સિંચાઈના કામ સહિતના મંજૂરી આપવા સ્વભંડોળના રેતી, રોયલ્ટી, ગ્રાન્ટ કામને મંજૂરી આપવામાં આવી રહી છે, અને જોવાની ખુબી એ હતી કે ચૂંટણીલક્ષી આ ખાસ સભાને માત્ર પોણા કલાકમાં પૂર્ણ કરી દેવાઈ હતી. મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ 9.21 કરોડના કામને મંજૂરી અપાઇ હતી. આ 9.21 કરોડ પૈકી 6.09 કરોડના કામને પણ સમાવવામાં આવ્યા હતા જે કામ છેલ્લા 2 મહિનાથી અટવાયેલા હતા અને તેની પાછળ તત્કાલીન ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા વિકાસ કમિશનર પાસે કામગીરી બાબતે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.જેના કારણે આ કામગીરી અટકી પડી હતી. વાંકાનેર તાલુકાના અમર સરથી મીતાણા, પાંચ દ્વારકા થી સ્ટેટ હાઇવે જોડતો રોડ, અરણીટીંબાથી પીપળીયા રાજ તેમજ નેશનલ હાઈવેથી રાજા વડલા સુધીનો રોડ એમ કુલ 4 રોડના કામ રાજકોટની પાયોનીયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને કામ સોંપ્યું હતું પણ આ એજન્સીએ કામગીરી અધુરી મૂકી દીધી છે. 6 જેટલી નોટિસ આપવા છતાં કામગીરી શરુ કરી ન હતી જેથી આજે સામાન્ય સભામાં એજન્સી એ ભરેલી એમડી ની રકમ જપ્ત કરી તેને છૂટા કરવા અને નવી એજન્સી પાસે કરવા એન એજન્સીને બરખાસ્ત કરવા ચર્ચા થઇ હતી આવી એક બીજી એજન્સી સમથેરવાથી નાગલપર સુધીને જોડતા રોડ નું કામ ઉમિયા કન્સ્ટ્રકશનને આપ્યું હતું જોકે તે એજન્સીએ પણ કામગીરી કરી ન હોવાથી છૂટી કરી ડિપોઝિટ જપ્ત કરવા ચર્ચા કરી હતી. પાક વીમા યોજના ફરી શરૂ કરતો ઠરાવ કરવા કોંગ્રેસની માંગ ભાજપે ફગાવી‎ભાજપે 2020માં બંધ કરી દેવામાં આવેલી ફસલ વીમા યોજના શરૂ કરવા કોંગ્રેસના સદસ્ય ભૂપત ગોધાણીએ માગ કરી હતી. જો કે ભાજપે આ પ્રશ્ન તેમના પક્ષના ધારાસભ્યોને વિધાનસભામાં ઉઠાવવા અહીં ખોટા પબ્લીસીટી સ્ટંટ ન કરવા કહી તેમની માંગણી ફગાવી હતી. રાજ્ય સરકારે ઐતિહાસિક 10 હજાર કરોડની સહાય ચૂકવી દીધી હોવાનો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા તેમજ અન્ય ભાજપ સદસ્યોએ દાવો કર્યો હતો. ગામડાંમાં બાંધકામમાં 40 ટકા માર્જિન છોડવાના‎પરિપત્ર રદ કરવા બન્ને પક્ષ સહમત છતાં અનિર્ણિત‎મોરબી નજીકની ગ્રામ પંચાયતમાં આડેધડ થતા બાંધકામ તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં થતા બાંધકામની મંજૂરી ગ્રામ પંચાયત આપતી હતી. જો કે અગાઉ જિલ્લા વિકાસ અધિકારી એસ જે પ્રજાપતિએ પરિપત્ર કર્યો હતો, જેમાં બાંધકામ કરતા પહેલા 40 ટકા માર્જિન મૂકવા અને બાંધકામ મંજૂરી માટે તાલુકા પંચાયતના બાંધકામ વિભાગમાં નકશો મંજૂર કરાવવાનો રહેતો હતો. જો કે આ પરિપત્ર બાદ મોરબી જિલ્લામાં બાંધકામ મંજૂરી ઠપ્પ થતા ભાજપ અને કોંગ્રેસ બન્નેના સદસ્યો એક મત થઇ ગત સામાન્ય સભામાં વિરોધ કર્યો હતો પણ ડીડીઓ તેના નિર્ણય પર અડગ રહ્યા હતા અને નીતિવિષયક નિર્ણય હોય સરકારના માર્ગદર્શન બાદ આગળ વધવાનું કહી આ મુદ્દા પર ઠંડુ પાણી રેડી દીધું હતું.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:33 am

ચેતવણી નહીં ચીમકી:ભાયાવદરમાં 1.3 કિમીનો મુખ્ય રોડ જ ગાડા માર્ગ બની જતા 18મીએ વિપક્ષનું રસ્તા રોકો આંદોલન

ભાયાવદરમાં આવેલા અરણી રોડથી ખાખીજાળીયા પહેલાના પુલ સુધીનો રોડ શહેરનો મુખ્ય માર્ગ છે.અત્યારે આ રોડની હાલત ગાડામાર્ગ કરતા પણ વધારે ખરાબ બની જવા પામી છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાથી વિરોધપક્ષએ વેપારીઓનો સાથ આપવાનું નક્કી કરી તા.18ના રોજ રસ્તા રોકો આંદોલનનું એલાન કર્યું છે. ત્યારે હજુ પણ તંત્ર પાસે સમય છે કે ચેતી જાય અને રસ્તો સારો અને ચાલવા યોગ્ય બનાવે. નોંધનીય છે કે પાણી પુરવઠાની લાઇન પાથરવા માટે રસ્તા ખોદી નંખાયા પછી આ રસ્તો નવો બનાવવાનો તો દુર, ખાડા બૂરવામાં પણ નથી આવ્યા. ભાયાવદરમાં પાણી પુરવઠાની લાઈન નવી પાથરવા માટે તંત્ર દ્વારા 1.3 કિલોમીટર જેટલા અંતરમાં આવેલ મુખ્ય માર્ગ એવા અરણી રોડથી ખાખીજાળીયા પેલા પુલ સુધીના રોડમાં જ્યાં ત્યાં ખોદકામ કરીને પાણીની લાઈનતો ફિટ કરી દીધી હોવા છતાં 3 મહિના અને 20 દિવસથી આ રોડને નવો બનાવાની કે તેમાં પડી ગયેલા મોટા મોટા ખાડાઓ બુરવાની કામગીરી શરૂ જ ન કરવામાં આવતાં તે આખા રોડના વેપારીઓની હાલત અત્યંત દયનિય બની ગઈ છે. આ રોડ ઉપર અવારનવાર પાણીની પાઇપ લાઈન તૂટી જવાથી વગર વરસાદે કાયમ માટે આ રોડ ઉપર પાણી વહેતુ હોવાથી ગંદકી રૂપે આખા રોડ ઉપર કીચડના થર જોવા મળે છે. જે બધાને દેખાય છે માત્ર પાલિકાને દેખાતા નથી. કોંગ્રેસનું તંત્રને તા.17મી સુધીનું અલ્ટિમેટમ‎આ ગાડા માર્ગ બારામાં વિરોધપક્ષના નેતા નયનભાઈ જીવાણીએ એવું જણાવ્યું છે કે જો તા.17 સુધીમાં આ આખા રોડ ઉપર ખાડાઓ બુરીને લેવલ કરવા અથવા નવા રોડની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તા.18 નવેમ્બરના રોજ તે રોડ પર આવતા તમામ વેપારીઓ ને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરાશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:30 am

પટ પહોળો થતા રસ્તો બંધ કરાયો:ઘમણાછા-ધાનપોર વચ્ચે પુલ વિના 20 કિમીનો ફેરાવો

ઘમણાછા અને ધાનપોર ગામ વચ્ચે 100 મીટરનું અંતર છે પણ કરજણ નદી પર પુલ બનતો નહિ હોવાથી ગામલોકોને 20 કિમીનો ફેરવો થઇ રહયો છે. નાંદોદ તાલુકાના ઘમણાછા અને ધાનપોર ગામના લોકોએ ફરી એકવાર ગામ વચ્ચેથી પસાર થતી કરજણ નદી પર બ્રીજ બનાવવા માગ ઉઠાવી છે. કરજણ નદીને કારણે બે ગામના ફાંટા પડી જતા અને એક કિમીના અંતરની જગ્યાએ 20 કીમીનો ફેરાવો થઇ રહયો છે. માંડ 25 થી 30 મીટરની નદી હાલ ધોવાણ થઇ અને 400 મીટર જેટલી પહોળી થઇ ગઈ છે. હવે નદી પરથી અવરજવર કરવા સરકાર એક સારો બ્રિજ બનાવી આપે એવી માંગ સમસ્ત ગ્રામનો કરી રહ્યા છે. કરજણ નદી પરનો બ્રીજ બનવાથી 15 થી 20 ગામો ને સીધો ફાયદો થાય એવું હોવા છતાં અધિકારીઓ કે પદાધિકારીઓ ધ્યાન આપતાં નથી .ગામના મનહર પટેલે જણાવ્યું છે કે 1990 માં ધાનપોરથી ઘમણાછા નદીના પટમાં રહીને બસ આવતી હતી પરંતુ આજે નદીનો પટ 400 મીટર થઇ જતાં રસ્તો બંધ થઇ ગયો હોવાથી 20 કિમીનો ફેરાવો થઇ રહયો છે. સરકાર એક નાનો પુલ બનાવી આપે તે જરૂરી છે. જમીનો ગણોતે આપી દેવાની ફરજ પડે છેઘમણાછા ગામના ખેડૂતોની 200 એકરથી વધુ જમીનો સામે ધનપોર ગામની સીમમાં આવેલી છે નદી ને કારણે અંતર વધતા રોજ જવું મુશ્કેલ છે એટલા માટે અમે ભાગે આપી દેવી પડે છે. જો આ બ્રિજ બની જાય તો અમારાથી સારી ખેતી થાય તેમ છે. ભુછાડ, વાઘેથા, હેલંબી પાટાના આ ગામોનાલોકો વડોદરા રોડ પર સીધા રસેલા, બીડ, પોઇચા પહોંચી જાય અને સીધા 20 કિમીની જગ્યા એ બે ત્રણ કિમિમાં પહોંચી જાય તેમ છે. > રાજુ પટેલ, ધમણાછા

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:22 am

જીવદયા પ્રેમીઓમાં રોષ:જંબુસરમાં ઘાયલ ગાયોને સારવારના બદલે ખડાઇ પુલ પાસે નાંખવાનું કૃત્ય

જંબુસરમાં પશુપાલકોની ગંભીર બેદરકારી સામે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહયો છે. થોડા દિવસ પહેલાં એક વાછરડાને પગના ભાગે ગંભીર ઇજા થઇ જતી જેની જીવદયા પ્રેમીઓએ સારવાર કરી તેના માલિકને સુપરત કર્યું હતું. માલિકે તેની વધુ સારવાર કરાવવાના બદલે કલક જવાના રોડ પર ખડાઇ પુલ પાસે બિનવારસી હાલતમાં નાખી દીધું છે. ગાય અને વાછરડા પશુઓને ખોરાકની શોધમાં રખડતાં મુકી દેતાં હોય છે. જંબુસર નગરના ટંકારી ભાગોળ, કોટ દરવાજા, સ્વામી નારાયણ સોસાયટી પાસેના રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં રોજના 300 થી 400 જેટલા રખડતા પશુઓની હાજરી જોવા મળતી હોય છે. આ પશુઓ રાહદારી તથા વાહનચાલકો પર હૂમલો પણ કરી દેતાં હોય છે. આ પશુઓ બિમાર પડે છે અથવા અકસ્માતનો ભોગ બનતાં હોવા છતાં પશુમાલિકો કોઇ તકેદારી રાખતાં નથી. ગૌરક્ષકો અને જીવદયાપ્રેમીઓ સ્થળ પર પહોંચી તેની સારવાર કરતાં હોય છે અને તેને માલિકોને સુપરત કરતાં હોય છે. હાલમાં બે ત્રણ દિવસ અગાઉ એક વાછરાડાને પગે ગંભીર ઈજા થતાં આ બાબતની જાણકારીગૌ રક્ષકો ને થતા તેમની સારવાર કરી અને માલિકને સોંપવામાં આવી હતી પરંતુ માલિકે તેને સારવાર કરવાની બદલે કલક રસ્તા પર આવેલ ખડાઇના પુલ પાસે ફેંકી દીધી હતી તેવું ગૌરક્ષકોનું કહેવું છે. હિન્દુ સમાજ ગૌ માતા તરીકે ગાયને પૂજનીય ગણે છે જ્યારે આવા વ્યક્તિઓ જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી તેને રાખે છે અને દૂધ ન આપતી ગાયને રખડતી મૂકી દે છે જે ખરેખર શરમજનક ઘટના છે. ગૌરક્ષકોની ટીમે સ્થળની મુલાકાત લેતાં અનેક ગૌવંશના હાડપિંજર મળી આવ્યાં હતાં. મૃતદેહોને દાટવા ને બદલે ખુલ્લા ફેંકી દેવામાં આવતાહતા પશુ માલિકોના કૃત્ય બદલ ગૌરક્ષકોમાં રોષ જોવા મળી રહયો છે. તેમણે આવા કૃત્ય બદલ તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે અને આવા પશુ માલિકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. હિન્દુ સમાજ ગૌ માતા તરીકે ગાયને પૂજનીય ગણે છે જ્યારે આવા વ્યક્તિઓ જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી તેને રાખે છે અને દૂધ ન આપતી ગાયને રખડતી મૂકી દે છે જે ખરેખર શરમજનક ઘટના છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:22 am

હર્ષ સંઘવી સાથે પ્રમુખ સહિતના સભ્યોએ કરી મુલાકાત:ટ્રાફિક સહિતની સમસ્યાઓના મામલે ક્રેડાઇની ઉપ-મુખ્યમંત્રીને રજૂઆત

ભરૂચ શહેર તથા દહેજ બાયપાસ રોડ પર વકરતી જતી ટ્રાફિક સમસ્યાના મામલે ક્રેડાઇના પ્રમુખ સહિતના સભ્યોએ રાજયના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. દેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી હર્ષ સંઘવીએ જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે પાંચ જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ભરૂચ ક્રેડાઇના પ્રમુખ નિશિધ અગ્રવાલ તથા સભ્યોએ તેમની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે શહેર તથા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્યાના કારણે તેમના વ્યવસાય પર પડતી અસરોથી ઉપ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. નિશિધ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નો બાબતે ઉપ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને તેમણે ગાંધીનગર મુલાકાત માટે બોલાવ્યાં છે. અમારી ટીમ ગાંધીનગર જઇને વધુ રજૂઆત કરશે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:20 am

છાશવારે થતાં ભંગાણ અટકશે:ચાવજથી માતરિયા સુધી હળવા સ્ટીલની લાઇન‎ 4.50 લાખ વસતીને પીવાનું પાણી આપી શકાશે‎

કલ્પેશ ગુર્જર | ભરૂચ અમલેશ્વર બ્રાંચ કેનાલના ચાવજ પોઇન્ટથી માતરિયા તળાવ સુધી 5 કિમી સુધી માઇલ્ડ સ્ટીલની નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. હયાત પાઇપલાઇનથી રોજના 4 કરોડ લીટર જેટલા પાણીનું વહન થઇ શકે છે પણ નવી લાઇનથી 7 કરોડ લીટર પાણીનું વહન થઇ શકે તેમ હોવાથી ભવિષ્યમાં 4.50 લાખ લોકોને પીવાનું પાણી આપી શકાશે. ભરૂચ શહેરમાં અમલેશ્વર બ્રાંચ કેનાલના ચાવજ પાસેના પોઇન્ટથી માતરિયા તળાવ સુધી 5 કિમી લંબાઇની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્તમાન પાઇપ લાઇન આરસીસીમાંથી બનેલી છે. અને તે 20 કરતાં વધારે વર્ષ જૂની છે. જૂની લાઇન બદલીને તેના સ્થાને હવે લોખંડના પાઇપથી નવી લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ છે. પહેલાં તબકકામાં માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીની લાઇન નાખવામાં આવશે. 23 કરોડથી વધુના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. નવી લાઇન મારફતે ચાવજથી માતરિયા તળાવ સુધી અમલેશ્વર બ્રાંચ કેનાલનું પાણી લાવવામાં આવશે. પાઇપલાઇન નાખવાની કામગીરી આગામી બે મહિના સુધી ચાલી શકે તેમ છે. વર્તમાન આરસીસીની લાઇનથી શહેરની બે લાખની વસતીને પાણી આપી શકાય છે પણ નવી એમ.એસ ( માઇલ્ડ સ્ટીલ)ની લાઇન નંખાવાના કારણે ભવિષ્યમાં 4.50 લાખ લોકોને પીવાનું શુધ્ધ પાણી આપી શકાશે. 1422 મીમીના વ્યાસની પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ભાસ્કર ઇનસાઈડછાશવારે લાઇનમાં ભંગાણની સમસ્યાથી મુક્તિહાલમાં પાણીના વહન માટેની મુખ્ય લાઇન કોંક્રિટની બનેલી હોવાથી કોઇ પણ સ્થળે ખોદકામ દરમિયાન જેસીબીથી પાઇપલાઇન તૂટી જવાનો ખતરો રહે છે. પાઇપલાઇન તૂટી જવાથી શહેરને મળતો પાણી પુરવઠો ઓછો થઇ જાય છે. જૂની લાઇનો તૂટી જવાના કારણે તેમાં ગટરના પાણી તથા કચરો ભળી જવાની સંભાવનાઓ રહેતી હોય છે. નવી 1422 મીમી વ્યાસના ડાયામીટર વાળી લોખંડની પાઇપો ખોદકામ દરમિયાન તૂટવાની સંભાવના નહીવત હોવાથી શહેરીજનોને છાશવારે ભંગાણના કારણે પડતી પાણીની તંગી માંથી મુકિત મળી જશે. હાલ તો ચાવજથી માતરિયા તળાવ સુધી આવતી મુખ્ય લાઇન બદલવાનું કામ જીયુડીસી તરફથી હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં શહેરમાં આવેલી જૂની અને જર્જરિત બની ગયેલી પાઇપલાઇન બદલવાનું પણ આયોજન પાલિકા સત્તાધીશો તરફથી કરવામાં આવી રહયું છે. ભરૂચમાં વ્યક્તિ દીઠ રોજ 195 લિટર પાણીનું વિતરણભરૂચ શહેરમાં રોજ વ્યકતિ દીઠ 195 લીટર પાણી આપવામાં આવે છે. નર્મદાની અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી રોજનું 4 કરોડ લીટર પાણી મેળવી તેનો માતરિયા તળાવમાં સંગ્રહ કરાઇ છે. તળાવમાંથી પાણીને અયોધ્યાનગર ફિલટરેશન પ્લાન્ટમાં લઇ જઇને તેને શુધ્ધ કરીને વિવિધ ટાંકીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ ટાંકીઓ મારફતે લોકોના ઘરોમાં સવાર અને સાંજ એમ બે સમય પાણી આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:18 am

90 ટકા શિક્ષકો મતદારયાદી સુધારણામાં જોતરાશે‎

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે બીએલઓની કામગીરીના કારણે પ્રાથમિક શાળાના છાત્રોનું ભણતર બગડી રહ્યું છે. શિક્ષકોને જ બીએલઓ સહિત અન્ય બિન શૈક્ષણિક કામગીરી સોંપી બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ પ્રાથમિક શિક્ષક સંઘે કર્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના વિરોધને સમર્થન આપતા જિલ્લા સંઘે જણાવ્યુ હતું કે શિક્ષકો સિવાય અન્ય 12 વિભાગના કર્મચારીઓને બીએલઓ કામગીરી સોંપવા બાબતના રાજ્યના નાયબ ચૂંટણી અધિકારીના પરિપત્ર નું ઉલ્લંઘન કરી શિક્ષકોને જ 90 ટકા ઉપર ની કામગીરી સોંપી હેરાનગતિ કરવામાં આવે છે. તેમજ ધમકી આપવામાં આવે છે વોરંટ કાઢવામાં આવે છે આવા અધિકારીઓને કોર્ટમાં ઘસડી જઈ સબક શીખવાડવા માટે સંઘે રાજ્ય સંઘમાં લેખિતમાં ઉગ્ર રજુઆત કરી છે. બીએલઓની કામગીરી‎80 ટકા શિક્ષકોને‎સોંપવામાં આવી છે‎બીએલઓ ની કામગીરી આખું વર્ષ ચાલે છે. ત્યારે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ આપવું હોય તો બીએલઓની કામગીરી સહિતની બિન શૈક્ષણિક કામગીરી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે. ભરૂચ જિલ્લામાં બીએલઓની કામગીરી શિક્ષકોને સોપાઇ છે. ઉપરથી એક જ મહિનામાં કામગીરી કરીને આપવા કહેવામાં આવ્યું છે. ત્યારે શિક્ષકોએ શાળા છોડીને કામગીરી કરવા જવું પડે છે ત્યારે બાળકોનું શું થશે. બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર છે. > પ્રદીપ સિંહ રાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ભાસ્કર ઇનસાઈડપ્રાથમિક શાળાના શિક્ષકો કેવી રીતે બીએલઓની કામગીરી કરશેમતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં શિક્ષકો ઘરે ઘરે જઈને નવી મતદાન યાદી બનાવશે જેમાં જેમાં શિક્ષકો ઘરે ઘરે જઈને કામગીરી કરશે. જેમાં પહેલા શિક્ષકોએ કામગીરી બાબતે ઓદર બાદ તાલીમ આપવામાં આવી છે. ત્યાર બાદ શિક્ષકો જેતે વિસ્તારમાં જઈને ફોમ ભરાવતા હોય છે જેમાં તમામ પુરાવા તૈયાર હોય તો ઓછામાં ઓછી 15 મિનિટ અને પુરાવા તૈયાર ન હોય તો 30 થી 40 મિનિટ પણ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારમાં ફોર્મ ભરતા વધુ સમય લાગે છે. જેથી શિક્ષક બીએલઓની કામગીરી કરવા જતા પહેલા જે તે વિસ્તારમાં જાણ કરી ડેટા હોય છે જેથી સમય બચી શકે અને કામગીરી ઝડપથી પૂરી થય શકે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:15 am

આદિવાસી સમાજના યુવાનોને મારવાની ઘટના‎માં રાવ:નિકોરા ગામની મહિલા સરપંચ સહિત 9 સામે પોલીસ ફરિયાદ

ભરૂચ તાલુકાના નિકોરા ગામે હોળી ચકલા વિસ્તારમાં રહેતો મુકેશ રમણ વસાવા ગત 5મી નવેમ્બરે તેના ઘરે હતો. તે વેળાં રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેના ભાણેજ અક્ષય વસાવા અને તેનો મિત્ર યોગેશ કે જે બન્ને કોલિયાદ ગામેથી તેમના ગામે શુક્લતીર્થ મેળામાં આવ્યાં હતાં તેમની સાથે ગામનો કાર્તીક વસાવા ઝઘડો રી રહ્યો હતો. મુકેશ તેમજ તેના પરિવારજનોએ તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.કાર્તિકે રામજી વસાવાને ફોન કરતાં ગામના સરપંચ વૈશાલી વસાવા, અનુરાગ વસાવા તેમજ તેમનો ડ્રાઈવર જયેશ ગૌસ્વામી ત્યાં આવી પહોચ્યાં હતાં. તેઓએ ભેગા મળી અક્ષય યોગેશને માર માર્યો હતો. સરપંચ સામે લડો છો તેમ કહી તેમને લાકડીના સપાટા મારવા લાગ્યાં હતાં.આ સમયે તેમના અન્ય સાગરિતો પર ઉપરાણું લઇ દોડી આવ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:13 am

કલેક્ટરની બેઠક:દેવમોગરા પાંડુરી માતાના મંદિર પરિસરમાં સફાઇ, રાતોરાત નવા થાંભલા લાગી ગયાં

દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી દેવમોગરામાં પાંડુરી માતાના મંદિરના પરિસરની સફાઇ કરવામાં આવી છે તેમજ લાઇટો માટે રાતોરાત નવા થાંભલાઓ લગાવી દેવામાં આવ્યાં છે. ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ નિમિત્તે 15 મી નવેમ્બરના રોજ દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્ર્મ યોજાનાર છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાંડો. બાબા સાહેબ આંબેડકર હોલમાં આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ કાર્યક્રમના આગોતરા આયોજન દરમિયાન વિવિધ સમિતિ દ્વારાકરવાની કામગીરી અને વ્યવસ્થા અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. જેમાં બેરીકેટીંગની વ્યવસ્થા, લોકોનેબેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, મંડપ, લાઇટ દેવ મોગરા મંદિર પરિસરમાં અને આસપાસની જગ્યાનીસાફ-સફાઈની કામગીરી, ફાયર સેફ્ટી, આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી, વીજ પુરવઠો, પાર્કિગ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. બેઠકમાં એસપી વિશાખા ડબરાલ, ડીડીઓ આર. વી.વાળા, પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંધાડ સહિતના અધિકારીઓ હાજર રહયાં હતાં.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:11 am

38 લોકોએ લીધી હડકવાની રસી‎:ભેંસે દૂધ આપવાનું બંધ કર્યું ત્યારે અમને ખબર પડી કે તેને હડકવા છે

આમોદના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસના મોત બાદ 38 લોકોએ આમોદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી લીધી હતી. ઘટના બાદ બે દિવસથી આરોગ્ય વિભાગની ટીમો ગામમાં ફરી રહી છે. સમગ્ર ઘટનાને દિવ્યભાસ્કરે ભેંસના માલિક પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, બે દિવસથી આરોગ્ય વિભાગની ટીમ ગામમાં લોકોની પુછપરછ કરી તકેદારીના ભાગરૂપે તેમને હડકવાની રસી આપી રહી છે. અત્યાર સુધી 38 લોકોને રસી અપાઇ છે. બળી બનાવવા માટે ફળિયામાં દૂધ આપ્યું‎અમે કોબલા ગામના રહેવાસી છીએ અને અમે પશુપાલન સાથે સંકળાયેલાં છે. અમારી ભેંસને પહેલાં કુતરૂ કરડયું હશે તેમની અમને ખબર ન હતી. એક મહિના પહેલાં અમારી ભેંસે બચ્ચાને જન્મ આપ્યો હતો. આ સાત તારીખે જ બચ્ચાના જન્મને એક મહિનો પૂરો થયો છે. અમારી ભેંસનું દૂધ એક કે બે ઘરના લોકો લઇ જતાં હતાં પણ ભેંસે બચ્ચાને જન્મ આપતાં લોકોએ બળી ખાવા માટે અમારી પાસે દૂધની માગણી કરી હતી જેથી અમારા ફળિયામાં રહેતાં લોકોને દૂધ આપવામાં આવ્યું હતું. એક મહિના પહેલાં લોકોએ ભેંસના દૂધની બળી બનાવીને ખાધી હતી. એક દિવસ ભેંસે અમને દૂધ કાઢવા ન દેતાં અમે વેટરનરી તબીબને બોલાવ્યાં હતાં. ભેંસનું વર્તન પણ બદલાઇ ગયું હતું અને એકદમ દોડધામ કરવા લાગી હતી. અમે ભેંસને બાંધી દીધી હતી અને લાગ્યું કે ભેંસ બિમાર હશે એટલે તબીબને બોલાવ્યાં હતાં. તબીબે ભેંસને તપાસીને કહયું હતું કે, ભેંસને હડકવા થઇ ગયો છે એટલે તમે અને બાંધીને જ રાખજો. બાંધીને રાખ્યાં બાદ ભેંસ બાંધેલી હાલતમાં જ મરી ગઇ હતી. ચારથી પાંચ દિવસ સુધી અમે ભેંસને બાંધેલી જ રાખી હતી. 5 તારીખે સાંજે 7 વાગ્યે ભેંસનું મોત થતાં અમે જેસીબી બોલાવીને ભેંસને જમીનમાં દાટી દીધી હતી. અમારા પરિવારના 6 સભ્યોએ રસી લીધી હતી. ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમ ગામમાં આવી હતી. ગામમાં આવતી ટીમો અમને પૂછી રહી છે કે કેવી રીતે આવું બન્યું છે. ગામલોકોને તબીબોએ કીધું હતું કે, હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધું હોય તો કોઇ ભય નથી પણ બધાના મનમાં એક વહેમ હતો તેથી તમામે હડકવાની રસી મુકાવી લીધી છે. અ ત્યાર સુધીમાં 38 લોકોએ હડકવાની રસી મુકાવી છે. ( ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ સાથે કલ્પેશ ગુર્જરે કરેલી વાતચીતના આધારે )

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 7:10 am

ગોઝારો અકસ્માત:રાણીફળિયામાં બાઈક વૃક્ષ સાથે અથડાતા ચાલકનું સ્થળ પર મોત

વાંસદા-ધરમપુર શામળાજી નેશનલ હાઈવે પર બે યુવાનો બાઇક લઇને હનુમાનબારીથી ઘોડમાળ ગામે જઈ રહ્યાં હતા. દરમિયાન બાઇક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડથી ઉતરી વૃક્ષ સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં ચાલકને વાંસદા કોટેજ હોસ્પિટલ લાવતા સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું. વાંસદા-ધરમપુર રોડ વાપી-શામળાજી નેશનલ હાઈવે નજીક રાણીફળિયા સારિયા ફળિયા મહેશ પટેલની ઘરની બાજુમાં 9 નવેમ્બરના રોજ સાંજે 6.30 કલાકે હિમેશ જીતેશભાઇ ચવધરી (ઉ.વ. 17, રહે. ઘોડમાળ, કાસટપાડા ફળિયા) પોતાની KTM બાઇક (નં. જીજે-21-ડીએફ-4133) ઉપર વિનય સુમનભાઈ ચવધરી સાથે વાંસદા તાલુકાના હનુમાનબારી ગામેથી મિત્રને મળીને ઘોડમાળ તરફ જઈ રહ્યાં હતા. દરમિયાન બાઈક પરનું સંતુલન બગડતા બાઇક રોડથી નીચે ઉતરી ટેકરા ઉપર જઈ વૃક્ષ સાથે અથડાઇ હતી. જેને પગલે ચાલક હિમેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. કોઈકે 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108ના કર્મચારીએ હિમેશને તપાસ મૃત જાહેર કર્યો હતો. જ્યારે પાછળ બેસેલા વિનયને ઈજા પહોંચી ન હતી. તેણે મૃતક હિમેશના પિતા જીતેશભાઇને ફોન કરી અકસ્માત અંગે જાણ કરી હતી. તેઓ ઘટનાસ્થળે આવી ત્યાંથી વાંસદા કોટેજ હોસ્પિટલ લઈ જતા ત્યાં હાજર ડોક્ટરે પણ હિમેશને મૃત જાહેર કર્યો હતો. વાંસદા પોલીસ મથકે વિનય ચવધરી (રહે.ઘોડમાળ)એ ફરિયાદ આપતા પોલીસે મૃતક હિમેશ વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:46 am

દુષ્કર્મ:ઉધાર આપેલા કપડાની ઉઘરાણીના બહાને આદિવાસી મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ

વાલોડ તાલુકાના એક ગામમાં રેડીમેટ કપડાની દુકાન ચલાવતા મહેમુદ ગુલામઅલી અન્સારીએ એક આદિવાસી મહિલાને કપડા ઉધાર આપ્યા હતા. જેના કેટલાક દિવસ બાદ ઉઘરાણીના બગાને દુકાનદાર મહેમુદ આદિવાસી મહિલાના ઘરે પહોંચી ગયો હતો. અને ઘરમાં એકલી મહિલાની એકલતાનો લાભ લઈ મહેમુદ ગુલામ અન્સારીએ મહિલાનો હાથ પકડી લઈ તેની સાથે જબરજસ્તી કરી તેને ખાટલા ઉપર લઈ જઈને ધમકી આપી હતી અને કહ્યું હતું કે મને શરીર સંબંધ બાંધવા દે નહીં તો તને કપડાનો ધંધો નહીં કરવા દઉં કહી ફરિયાદી સાથે મરજી વિરુદ્ધ જબરજસ્તીથી કપડાં કાઢી તેની શરીર તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી રહ્યો હતો. આ સમય દરમિયાન મહિલાનો પતિ ઘરમાં આવી જતા ગુલામઅલી મહિલાના પતિ સાથે ગાળા ગાળી અને ઝપાઝપી કરી સ્થળ પરથી મોપેડ લઈ ભાગી છૂટ્યો હતો. આ અંગેની તપાસ નાયબ પોલીસ અધિકક્ષક એસ.સી./એસ.ટી. સેલ તાપી જિલ્લાના નિકિતા શિરોયા કરી રહ્યા છે. બનાવને પગલે વાલોડ પોલીસે આરોપી મહેમુદ સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષનો માહોલ સર્જાયો છે. અને આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:40 am

કોર્ટનો હુકમ ન માનવાનું પડ્યું ભારે:ભદેલીમાં ગ્રા.પં. કર્મીને નોકરીમાંથી કાઢી મૂકતાં રૂ. 4.48 લાખ ચૂકવવા પડ્યા

ભદેલીની ગ્રામપંચાયતના કામદારને નોકરીમાંથી છુટા કરવાનો ચકચારી મામલો ગરવી ગુજરાત લેબર યુનિયન મારફત લેબર કોર્ટમાં પહોંચ્યા બાદ કામદારને પૂન: સ્થાપિત કરવાના હુકમ સામે પંચાયતે હાઇકોર્ટમાં દાદ માગી હતી.જે હાઇકોર્ટે રદ કરી લેબર કોર્ટના હુકમનો અમલ કરવા આદેશ કરવા છતાં પંચાયતે તેમ નહિ કરતા છેવટે ડીડીઓ, ટીડીઓ અને લેબર કોર્ટની સૂચનાના પગલે રિકવરી પેટે રૂ.4.48 લાખ ચુકવવાનો હુકમ કર્યો છે. ભદેલી ગ્રામપંચાયતના કામદાર બાબુ હરિભાઇ ટંડેલને નોકરીમાંથી છુટા કરવાનો વલસાડ લેબર કોર્ટ રેફરન્સ કેસ નં. 504/98 1998માં જે તે સમયે એક જૂના યુનિયન મારફત કરાયો હતો, જેમાં યુનિયન સમય જતા કામદાર બાબુભાઇએ વાપી સ્થિત ઓફિસમાં ગરવી ગુજરાત લેબર યુનિયનના એડવોકેટ કૌશિક કપ્તાન દ્વારા દાખલ કરાયો હતો. જે કેસમાં એડવોકેટની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કામદારને તેની મૂળ જગ્યાએ પૂન: સ્થાપિત કરવાનો હુકમ થયો હતો. જેની વિરૂધ્ધ ગ્રામપંચાયત તરફથી હાઇકોર્ટમાં એસસીએ દાખલ કરાઇ હતી, જેને કોર્ટે રદ કરી દઇ લેબર કોર્ટના હુકમનો પાલન કરવા હુકમ કરવા છતાં તેનો અમલ થયો ન હતો. જેથી કામદારના એડવોકેટ કૌશિક કપ્તાન દ્વારા લેબર કોર્ટના હુકમ અનુસારના નાણાં મેળ‌વવા પંચાયત સામે રિકવરી અરજી દાખલ કરાતા કામદાર તરફે હુકમ થયો હતો.તેમ છતાં પંચાયતે તેનું પાલન કર્યું ન હતું.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:39 am

દુર્ઘટનાને આમંત્રણ:વ્યારા જળવાટિકા પાસે ફ્યુઝ બોક્સ જર્જરિત, નાગરિકોમાં સુરક્ષાનો ભય

વ્યારા નગર માં આવેલ જળવાટિકા તળાવની આસપાસ લગાવાયેલા લાઇટના ફ્યુઝ બોક્સો હાલ અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. અનેક ફ્યુઝ બોક્સના કવર તૂટેલા છે અને તેમાંના વીજ તાર ખુલ્લા પડ્યા છે. જેના કારણે કોઈપણ સમયે વીજશોક જેવી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહિ. આ તળાવ ફરતે રોજ સેકડો નાગરિકો સવાર અને સાંજના સમયે ફરવા, કસરત કરવા અને બાળકો સાથે સહેલ કરવા માટે આવતા હોય છે. આવી જગ્યાએ ખુલ્લા વાયર સાથેના બોક્સો રહેતા નાગરિકો અને ખાસ કરીને બાળકોની સુરક્ષાને ગંભીર જોખમ ઉભું થયું છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે તળાવની સુંદરતા વધારવાના અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષાના મૂળભૂત મુદ્દા પર ઉદાસીનતા ચિંતાજનક છે. નાગરિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક પગલા લઈને જર્જરીત ફ્યુઝ બોક્સોની મરામત અથવા બદલાવ કરવા તેમજ સમગ્ર વિસ્તારની વીજ વ્યવસ્થા સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. વીજ વિભાગ અને નગરપાલિકા વચ્ચે સંકલનના અભાવે નાના મુદ્દાઓ પણ મોટા જોખમમાં પરિવર્તિત થઈ શકે છે, તેથી તાત્કાલિક કાર્યવાહી અનિવાર્ય બની છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:38 am

SIR ફોર્મમાં ન સમજ પડે તો BLO કરશે મદદ ‎:BLO હવે મતદાન મથકે ચાર દિવસ હાજર રહેશે

નવસારી જિલ્લામાં હાલમાં સર અભિયાન હેઠળ નવા મતદારો ની યાદી તૈયાર કરાવવા માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.જેમાં બી.એલ.ઓ ફોર્મ ઘરે ઘરે આપી ગયા છે. જેમને ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલી તારીખે બી.એલ.ઓ હાજર રહી મદદ કરશે. કેન્‍દ્રીય ચૂંટણી પંચ, દિલ્હીની સૂચનાનુસાર ગુજરાત રાજ્યમાં 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હાલમાં 2002 ની યાદીમાં ન હોય અને અન્ય ગામે થી અન્ય જગ્યાએ સ્થળાંતર થયા હોય તેવા ખાસ કિસ્સામાં BLO દરેક મતદારને માર્ગદર્શન આપશે. ભાસ્કર ઇનસાઈડ​​​​​​​કોને કોને કેવી તકલીફ પડશેનવસારી જિલ્લામાં મોટા ભાગે આદિવાસી સમાજમાં લોકો રહેતા હોય છે ફોર્મમાં મતદાર ની વિગતો સાથે તેમના પરિવાર ની વિગત પણ આપવાની હોય છે.આવા કિસ્સામાં 2002 ની યાદી પ્રમાણે અમુક વિગત નોંધવાની હોય છે. જેમાં મોટા ભાગના લોકોને ચૂંટણી કાર્ડ પણ ખોવાઈ ગયા હોય અને લગ્ન કરીને આવેલી મહિલાઓને પણ તેમના પિયરે રહેતા માતા પિતાની ચૂંટણી કાર્ડની વિગતો ભરવાની હોય છે. જે હાલના તબક્કે આદિવાસી સમાજ અને ગરીબ પરિવાર માટે અશક્ય બાબત છે. ઉપરાંત ભાડેથી રહેતા લોકો માટે પણ અશક્ય બાબત છે. 15-16 તથા 22-23 નવેમ્બરે મતદાન મથકે મળશે તેમાં હાલના પ્રથમ તબક્કામાં તા.15 અને 16 નવેમ્બર અને 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9થી બપોરે 1 કલાક સુધી દરેક BLO તેમના મતદાન મથકે હાજર રહેશે. જેની દરેક મતદારોએ નોંધ લેવી. ફોર્મ ભરવામાં મતદારોને મદદ કરશે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:36 am

યુદ્ધના ધોરણે રોડ રિપેરિંગ શરુ કરાયું:નવસારીમાં રાત્રે રોડ રિપેરિંગ થતા શહેરીજનોને હાલાકીથી મળશે મુક્તિ

દિવાળીના તહેવારોની ધમધમાટ શાંત થયા બાદ નવસારી મનપા દ્વારા શહેરના રસ્તાઓને ફરીથી સુધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરીજનોને ઓછામાં ઓછી અગવડ પડે તે હેતુથી, આ કામગીરી ખાસ કરીને રાત્રે હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસા પહેલા બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ બંનેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરીજનોમાં રસ્તાઓની આ કફોડી હાલત અંગે તંત્ર સામે ભારે નારાજગી હતી. મનપાએ લોકોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને, દિવાળી પછી તુરંત જ રસ્તા રિપેરિંગનું બીડું ઝડપી લીધું છે. દિવસના સમયે ટ્રાફિક વધુ હોવાથી લોકોને પરેશાની ન થાય તે માટે, પાલિકાએ રાત્રિના સમયે પણ વિશેષ ટીમો તૈનાત કરીને ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ નિર્ણયથી દિવસ દરમિયાનની અવરજવરને અસર થતી અટકાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:34 am

લ્યો કરો વાત !:નવસારી મનપા સંકુલની માર્કેટમાં અધિકારી વેપારીઓના વજનકાંટા ઉઠાવી ગયા

નવસારી મનપા સંચાલિત માર્કેટમાં દબાણ અને પ્લાસ્ટિકની થેલી તપાસ કરવા આવતા અધિકારીઓએ શુક્રવારે કેટલાક વેપરીઓના વજન કાંટા ઉચકી જઈ સીલ કરવાની ધમકી પણ આપી હતી. જેને પગલે ત્રણ દિવસથી વેપારીઓ ધંધો કરી શકતા ન હોય તેમને આર્થિક રીતે નુકસાન થયાની માહિતી મળી છે. નવસારી મનપા ગ્રાઉન્ડમાં આવેલ શાકમાર્કેટમાં પ્લાસ્ટિકની કોથળી વપરાશ અને જગ્યાથી આગળ તેમના સાધનો મૂકતા હોવાની મળેલ બાતમીને આધારે મનપાના અધિકારીઓએ ચેકીંગ કર્યું હતું. અગાઉ પ્લાસ્ટિકની બેગ મળી હોય તેવા વેપારીઓને ધમકાવી તેમના શુક્રવારે વજન કાંટા લઇ જતા તેમનો ધંધો ન થતા તેમની આર્થિક સ્થિતિ કથળી છે. મનપાના અધિકારીઓ વિરુદ્ધ માર્કેટના વેપારીઓએ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી ત્યારે ધંધો કરતા વેપારીઓ હાલમાં વેપારીઓ ધંધો કરવા હરિફાઈ કરી રહ્યાં છે ત્યારે સ્થાનિક વેપારીઓ ફરી ફરિયાદ કરી છે. મીડિયામાં વાત વહેતા દુકાન સીલની ધમકી નવસારી માર્કેટના વેપારીઓને મનપા અધિકારી દ્વારા કાયમ હેરાન કરતા હોય તેઓ એ મીડિયામાં ફરિયાદ કરી હતી અને અધિકારીઓના નામ સહિત ફરિયાદ કરતા જે વેપારીઓને મનપાના કેટલાક અધિકારીઓએ ફોન ઉપર દુકાન સીલ કરવાની ધમકી આપી તેમના દુકાનના દસ્તાવેજ સહિતના કાગળો રજૂ કરવા માટે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:33 am

નાણામંત્રીનું નિવેદન:પારડી શહેરમાં પાણી-ડ્રેનેજનો પ્રશ્ર હવે કાયમી ઉકેલાય જશે

પારડી શહેર ભાજપ દ્વારા રવિવારે સાંજે ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહ મિલન અને નુતન વર્ષ શુભેચ્છા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નાણામંત્રીએ નૂતન વર્ષના અભિનંદન સાથે ભાજપ દ્વારા ઉજાગર કરવામાં આવેલા દેશહિતના કાર્યો, ભારતને વિશ્વ ગુરુ બનાવવા મોદીના પ્રયાસો અને લોકલ ફોર વોકલ સાથે સ્વદેશી અભ્યાનને આગળ વધારવા લોકોને અપીલ કરી હતી.તેમજ હાલમાં ચાલી રહેલ SIR પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે પારડી શહેરમાં પાણી-ડ્રેનેજના પ્રશ્ર કાયમી ઉકેલાય જશે.સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલુ થઇ ગયું છે.પારડી એક આદર્શ શહેર બની શકે છે. પાલિકા પ્રમુખ ચેતનભાઇ અને શહેર પ્રમુખ વિપલુભાઇની ટીમ સારુ કામગીરી કરી રહી છે.માજી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલે પણ સારી કામગીરી કરી હતી. દેવેનભાઇ શાહ વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. સિનિયર પણ છે. પારડી શહેરના વિકાસના કોઇ પણ કામ અને જરૂરિયાત માટે મારી પાસે આવી શકો છો.વાપી VIA પ્રમુખ સતિષભાઈ પટેલ ,પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ ,નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા,વાપી શહેર પ્રમુખ મનીષભાઈ દેસાઈ ,પૂર્વ શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ,શહેર ભાજપ મહામંત્રી અશોક પ્રજાપતિ,ઝુબીન દેસાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન દેવેન શાહ અને આભારવિધિ અશોક પ્રજાપતિએ કરી હતી.વિવિધ સમાજો અને સંસ્થાઓએ શહેરી વિકાસ મંત્રી કનુભાઇ દેસાઇનું અભિવાદન કર્યુ હતું.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:31 am

દારૂનો મોટો જથ્થો પકડાયો:વલવાડાથી 18.64 લાખનો દારૂ ઝડપાયો

વલસાડ એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે દમણ થી દારૂ ભરી બલીઠા થઈ કન્ટેનર સુરત તરફ જનાર છે.જે બાતમીના આધારે 10 નવેમ્બરે સવારે 5 કલાકે બલીઠા ફાટક પાસે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન કન્ટેનર આવતા તેને ટોર્ચ અને લાકડીનાં ઇશારે ઊભું રાખવા જણાવ્યું હતું. કન્ટેનર ચાલકે પોલીસની વોચ જોઈ ટેન્કર વાપી તરફ હંકારી મૂક્યુ હતું.એલ.સી.બી ની ટીમે કન્ટેનરનો પીછો કરી લવાડ સાંઇ મંદિર રોડ પરથી ઝડપી પાડ્યું હતું.કન્ટેનર ચાલક પોતાનું વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:29 am

રસ્તો બન્યો ખખડધજ:આછવણી બંધાડ ફળીયાથી પણન્જને જોડતો રસ્તો બિસ્માર

ખેરગામના આછવણી બંધાડ ફળીયાથી ફળિયાથી પણન્જ તરફ રસ્તો ઘણા સમયથી નવો ન બનતા કે મરામત પણ ન કરાતાર મસમોટા ખાડા પડી જવાથી અને કપચી પથરાવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહન ચાલકો માટે આ રસ્તો કમરના દર્દ સમાન બન્યો છે. રસ્તો એટલો સાંકડો હોવાથી વાહન ચાલકો ફસડાઈ પડે છે.રસ્તાની બંને બાજુ ઝાડી ઝાંખરા હોવાથી સામે આવતું વાહન દેખાતું નથી જેથી માર્ગ અકસ્માતના બનાવ વારંવાર બને છે. લાખોના ખર્ચે રસ્તાનું નવીનીકરણ થાય છે. પણ થોડા સમયમાં જ રસ્તો ખખડધજ બની જાય છે. અધિકારીઓ તથા કોન્ટ્રાકટરની મીલીભગતના કારણે થોડા જ સમયમાં રસ્તો બદતર થઇ જાય છે. તથા મસ મોટા ખાડા પડી જાય છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર રસ્તાનું નવીનીકરણ તો દૂર પણ રસ્તાને રીપેરીંગ કરવામાં પણ રસ લેતું નથી. કોઈ બીમાર પડે કે માર્ગ અકસ્માત થાય તો દર્દીઓને લઈ જવા પડે તો હાલત ખરાબ થઈ જાય છે. રસ્તો એટલો બદતર છે કે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. રસ્તાની બંને બાજુ ઝાડી ઝાંખરા હોવાથી સફાઈ કરવી પણ અનિવાર્ય બની છે. સંબંધિત તંત્રના અધિકારીઓ ઘોર નિદ્રા માંથી જાગી વહેલી તકે રસ્તો બનાવે તેવી ગ્રામ જનો ની ઉગ્ર માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:27 am

ટાંકીઓ તાકીદે કાર્યરત કરવાની માંગ:મોટી ઢોલડુંગરીમાં પાણીની ટાંકીઓ તો બનાવી પણ અંદર પાણીનું ટીપુંય નથી

ધરમપુરના મોટી ઢોલડુંગરીમાં બનેલી પાણીની ટાંકીઓ કોઈ કારણસર કાર્યરત ન થતા સ્થાનિકોને રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાની માહિતી તા.પં. અપક્ષ સભ્યએ આપી હતી. ગ્રામજનોને પાણીની સુવિધા ઉભી કરવા આ ટાંકીઓ તાકીદે કાર્યરત કરવાની લાગણી વ્યક્ત કરી હતી. નાની ઢોલડુંગરી તા.પં.બેઠકના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ જણાવ્યું હતું કે, મોટી ઢોલડુંગરીના ગ્રામજનો માટે પાણીની સુવિધા ઉભી કરવા ગામના વિવિધ ફળીયામાં ટાંકીઓ બનાવવામાં આવી છે. જોકે હજુ સુધી આ ટાંકીઓ કાર્યરત કરવામાં આવી નથી. જેથી ગ્રામજનો માટે પાણી માટે ઉભી કરવામાં આવેલી આ ટાંકીની સુવિધાનો લાભ મળી રહ્યો નથી. જ્યાં ઓછું અથવા પાણી નથી ત્યાં પાણી પહોંચાડવા પાઇપલાઇન સાથે આ આયોજન તંત્રએ કરી ટાંકી બનાવી કામગીરી તો કરી છે પરંતુ એમાં હજુ પાણી આવ્યું નથી એમ કહી આ ટાંકીઓ કાર્યરત થતા ગામમાં 90 ટકા પાણીની સમસ્યાનું નિરાકરણ આવી શકે એવી વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલે કુવા,બોરમાંથી પાણી લોકો મેળવી રહ્યા છે. આદિમજૂથ વિસ્તારમાં વાસમો મારફતે પાણી મળે છે.જ્યારે ગામના બાકીના 8 ફળીયામાં આ ટાંકીઓ કાર્યરત થાય તો પૂરતા પાણીની સુવિધા મળી શકે એમ છે. જેથી તાત્કાલિક જરૂરી કામગીરી પૂર્ણ કરી ટાંકીઓ કાર્યરત કરવામાં આવે એ જરૂરી છે એવી લાગણી અપક્ષ સભ્યએ વ્યકત કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:26 am

સાદડવેલ ગ્રામજનો‎ દ્વારા મામલતદારને આવેદન:કાવેરી સુગરની જમીનની હરાજી રદ કરો,‎સુગર ફરી શરૂ કરો

ચીખલી તાલુકાના સાદડવેલ ગામના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કાવેરી સુગરની જમીનની હરાજી રદ કરી સુગર ચાલુ કરવાની માંગ સાથે જળ, જંગલ, જમીનને નુકસાન થશે તેવા સંજોગોમાં રસ્તા પર ઉતરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાદડવેલ ગામના અગ્રણી પંકજભાઇ પટેલની આગેવાનીમાં સ્થાનિક શેર ધારકો, ખેડૂતો મોટી સંખ્યામાં આવી મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સાદડવેલ ગામ અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે અને પેસા એક્ટ પણ લાગુ પડતો હોય અને નેવું ટકા આદિવાસી વિસ્તાર છે. કાવેરી સુગરમાં આદિવાસી ખેડૂતોએ 80થી 90 ટકા શેર ખરીદયા છે. સુગરના સંચાલકોએ એનસીડીસી પાસેથી લોન મેળવી કામ શરૂ કર્યું હતું પરંતુ કોરોના કાળથી કામ બંધ હોય એ દરમિયાન હપ્તા નહીં ભરાતા અમારી જાણ મુજબ જમીનની હરાજી થઈ ગઇ છે. અમારી જાણ મુજબ આશરે 35 હેકટર જમીન અને થયેલ બાંધકામ મળી આજના માર્કેટ ભાવ મુજબ આશરે 130 કરોડ જેટલી થાય છે છતાં અમારી જાણ મુજબ 59 કરોડ જેટલી મામુલી રકમમાં હરાજી થયું હોવાનું જાણવા મળ્યું છે. આમ સમગ્ર હરાજીની પ્રક્રિયા સામે પણ અનેક સવાલો ઉભા થવા સાથે કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. આ જમીન ઉપર કોઈક અન્ય કંપની દ્વારા રાસાયણિક ખાતર બનાવાની કંપની સ્થાપવા માંગે છે. જો આ જમીનમાં કેમિકલ ખાતર બનાવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં જળ,જંગલ,જમીન અને વાયુને પણ નુકસાન થાય તેમ હોય પેસા એક્ટ અને અનુસૂચિ-5ના નિયમોનું પણ ઉલ્લંઘન થાય એમ છે. આદિવાસીઓ પ્રકૃતિને પૂજનારા છીએ, જમીન અને વાયુને નુકસાન થવાથી આદિવાસીઓ તેમજ પશુ-પંખીઓનું પણ જીવન જોખમાય તેમ હોય ઉપરાંત આદિવાસી ખેડૂતોને નુકસાન વેઠવું પડે તેમ છે તેવામાં ફરીથી કાવેરી સુગર ચાલુ થાય તો આદિવાસી ખેડૂતોને પણ સારી આવક મળી શકે તેમ છે. સાદડવેલ અને આજુબાજુના ગ્રામજનો દ્વારા કાવેરી સુવરની જમીનની હરાજી રદ કરી કાવેરી સુગર ચાલુ કરાય અને અમારી માંગણીને ધ્યાનમાં ન લેવાશે તો રસ્તા પર ઉતરી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી આદિવાસીનું જીવન જોખમાય તેવું કદી પણ ચલાવી લેવાશે નહીં.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:24 am

‘નળ સે જળ' માત્ર કાગળ પર:સુબીરના ખેરિદ્રાના લાંબાસોંડા ફળિયામાં નળ છે, પણ પાણી નથી

ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં જ્યાં એક તરફ સરકાર ‘હર ઘર નળ, હર ઘર જળ’ (નળ સે જળ) યોજનાને સફળ બનાવાનો દાવો કરી રહી છે ત્યારે સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખેરિદ્રા ગામનું લાંબાસોંડા ફળિયું આ દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી યોજના પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આ ફળિયાના ગ્રામજનો આજે પણ પીવાના પાણીની મૂળભૂત સુવિધાથી વંચિત છે. સુબીરના ખેરિદ્રાના લાંબાસોંડા ફળિયામાં સરકારી તંત્ર દ્વારા નળ સે જળ યોજના હેઠળ પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી છે અને દરેક ઘેર નળ પણ લગાવી દેવાયા છે પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે નળ લાગ્યા છતાં એક પણ ઘરમાં પાણીનું ટીપું આવતું નથી. યોજનાની કામગીરી પૂર્ણ થયાના લાંબા સમય પછી પણ નળમાં પાણી ન આવતા સમગ્ર યોજના માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. પાણીની કાયમી વ્યવસ્થા ન હોવાને કારણે ગામની મહિલાઓએ રોજીંદી જરૂરિયાત માટે દૂરના કોતર, ઝરણાં કે નદી સુધી લાંબા અંતરની પગપાળા મુસાફરી કરવી પડે છે. ચોમાસું હજી માંડ પૂરું થયું છે અને જળસ્તર ઊંચા હોવા જોઈએ, તેવા સમયે જ ગ્રામજનોને પીવાના પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડે છે. ટેન્કર દ્વારા પાણી મંગાવાની આ સ્થિતિ યોજનાના અમલ અને માળખાકીય ખામીની પોલ ખોલી નાખે છે. નળલાઇન નાંખવા અને અન્ય માળખાકીય કામોમાં ગુણવત્તા જાળવવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોની તરસ છીપાવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. તરસ્યા અને ત્રસ્ત ગ્રામજનોએ માંગ કરી રહ્યા છે કે સંબંધિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ તાત્કાલિક લાંબાસોંડા ફળિયાની રૂબરૂ મુલાકાત લે. સમગ્ર યોજનાના કામની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. યોજના પાછળ થયેલા ખર્ચ અને વાસ્તવિક કામગીરીનું ઓડિટ કરવામાં આવે અને સૌથી અગત્યનું, પીવાના પાણીની સુવિધા વહેલી તકે સુનિશ્ચિત કરવામાં આવે. માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી આપી છે. ઉનાળાની શરૂઆતમાં જળસંકટ ઉભુ થશે એ નક્કી છેગ્રામજનોએ વ્યથા ઠાલવતા જણાવે છે કે,જ્યારે ચોમાસું પૂરું થયું છે, ત્યારે જ જો અમારે પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડતો હોય, તો આગામી ઉનાળામાં અમારી શું હાલત થશે? જો અત્યારે જ પાણીની કોઈ વ્યવસ્થા નથી, તો ઉનાળાની શરૂઆતમાં જળસંકટ ઊભું થશે એ નક્કી છે. તેમના કહેવા મુજબ, નળ સે જળ યોજનામાં લાખો રૂપિયાની ફાળવણી થઈ હોવા છતાં, યોજનાનો અમલ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:23 am

ડીડીઓને આવેદન પાઠવવામાં આવ્યું:ડાંગમાં પરીક્ષાના છાપકામમાં 70ને બદલે 48 GSM કાગળનો ઉપયોગ કરાયાનો આક્ષેપ

ડાંગ જિલ્લા પંચાયત શૈક્ષણિક વર્ષ 2025-26ની 6 માસિક અને વાર્ષિક પરીક્ષાના છાપકામમાં નબળી ગુણવત્તાના કાગળનો ઉપયોગ કરી થયેલ કથિત ભ્રષ્ટાચાર બાબતે ડાંગ જિલ્લા કોંગ્રેસ આઇટી સેલના પ્રમુખ મનીષ મારકણાએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. ડાંગ જિલ્લાના કોંગ્રેસ આઇટી સેલ પ્રમુખ મનીષભાઈ કરમશીભાઈ મારકણાએ આવેદનપત્રમાં જણાવ્યાનુસાર ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા દ્વારા ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26ની 6 માસિક અને વાર્ષિક પરીક્ષાઓની પૂરવણીઓ અને પ્રશ્નપત્રોના છાપકામમાં હલકી ગુણવત્તાના કાગળનો ઉપયોગ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ સાથે સત્તાવાળાઓને લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે GEM બિડ નંબર GEM/2025/B16651189 (તા. 06/09/2025)ના નિયમો મુજબ, કાગળની ગુણવત્તા 66-70 જીએસએમ (Grams per Square Meter) હોવી જોઈએ પરંતુ વાસ્તવમાં પૂરા પાડવામાં આવેલા કાગળોની ગુણવત્તા માત્ર 55-60 GSM અથવા પ્રશ્નપત્રોમાં તો 48-50 જીએસએમ જેટલી જ છે, જે નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન છે. આ ઉપરાંત એવો પણ આક્ષેપ કર્યો છે કે એજન્સીને હજુ સુધી જીઇએમ પોર્ટલ દ્વારા કોઈ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી અને ઓફલાઇન વર્ક ઓર્ડર આપીને ભ્રષ્ટાચાર છુપાવાનો પ્રયાસ કરાયો છે. પ્રશ્નપત્રની સાઈઝ પણ જીઇએમ પોર્ટલના નિયમો મુજબ A4 નથી. તેમણે આ સમગ્ર છાપકામ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થાય, પૂરા પાડવામાં આવેલા કાગળના જીએસએમનું તટસ્થ લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવામાં આવે અને જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કાયદેસર કાર્યવાહીની માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:13 am

ગણદેવી સુગર ફેકટરીનો લક્ષ્યાંક:ગણદેવી સુગર 9.30 લાખ ટન શેરડી પિલાણ કરશે

ગણદેવી સુગર ફેકટરીમાં સને 2025-26ની શેરડી પિલાણ સિઝનનો સોમવાર સવારે શુભારંભ કરાયો હતો. જેમાં આગામી 165થી 170 દિવસો દરમિયાન 36 હજાર એકર વાવેતર વિસ્તારની 9.50 લાખ ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. દેવ દિવાળી બાદ સોમવારના રોજ સવારે ગણદેવી સુગરના બોર્ડ ઓફ ડિરેકટર્સ, અધિકારી, કામદાર-કર્મચારી ની ઉપસ્થિતિમાં યજ્ઞ પૂજા વિધિ કરાઈ હતી. જે સાથે નવી શેરડી પુલિંગ કરી પિલાણની કામગીરીનો પ્રારંભ થયો હતો. જેમાં મહુવા, નવસારી અને વલસાડ વિસ્તારની અંદાજીત 36 હજાર એકર વિસ્તારમાંથી 9.50 લાખ ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. જે આગામી 165થી 170 દિવસમાં લક્ષ્યાંક પૂરો કરાશે. જે માટે 300 ટ્રક, 135 બળદગાડા, 145 ટ્રેકટર ગાડા, 7 હજાર જેટલા શ્રમજીવીનો કાફલો કામે લાગ્યો છે. ગણદેવી સુગર ફેકટરી દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન હોય સેંકડો શ્રમજીવીઓને રોજી રોટી પૂરી પાડે છે. શેરડીની ચીમળી પશુઆહાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:12 am

સૂચીત ઓવર બ્રિજથી લોકોની રોજીરોટી છીનવાઇ જવાની ભીતિ:નાનાપોંઢા ચાર રસ્તા પર ઓવર બ્રિજ સામે દુકાનદારોનો વિરોધ

નાનાપોંઢા ચાર રસ્તા પર ઓવર બ્રિજનો સ્થાનિક દુકાનદારોએ વિરોધ કરતા આ અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. નાનાપોંઢા ચાર રસ્તા પર સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓવર બ્રિજને લઈ સ્થાનિક વેપારીઓ અને આગેવાનોમાં અસંતોષ જોવા મળ્યો છે. સોમવારે તેમણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારીઓને આવેદનપત્ર આપીને બ્રિજની યોજના રદ કરવાની માંગ કરી હતી. વ્યાપારીઓનું કહેવું છે કે બ્રિજ બનશે તો ચાર રસ્તા આસપાસ આવેલી અનેક દુકાનો તૂટી જશે અને અનેક પરિવારોની રોજી-રોટી પર સંકટ ઊભું થશે. તેમણે સરકારને વિનંતી કરી છે કે વિકલ્પ રૂપે અન્ય સ્થળ પર બ્રિજ બનાવવાની યોજના વિચારવામાં આવે. આવેદન પત્ર આપવામાં લાલુ ગાંવિત, હુસેનભાઈ, હરેશ પટેલ, હમીદભાઈ, અરવિંદ જાદવ સહિત અનેક વેપારી, દુકાનદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અહીં બનનાર ઓવર બ્રિજથી સ્થાનિક દુકાનદારોને મોટું નુકસાન થશે, તેથી સરકાર આ યોજનાને રદ કરે તેવી માગ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:10 am

ખેડૂતોએ કલેક્ટર સમક્ષ કરી રજૂઆત:જગતના તાતની જમીન સંપાદન કરી પણ જંત્રીનો ભાવ ઓછો ગણ્યો

વલસાડ તાલુકામાં આવેલી જમીનોમાંથી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 735 કેવીની હાઇટેન્શન લાઇન પસાર થતી હોય લાઇન કોરિડોરની ચૂકવણીમાં અન્યાયના મુદ્દે ઓલગામના ખેડૂતોએ સોમવારે વલસાડ કલેકટર ભવ્ય વર્માને આવેદન આપ્યું હતું.જેમાં બજાર કિમતે વળતર ચૂકવવા દાદ માગવામાં આવી છે.લાઇન કોરિડોરની અંદર આવતી જમીનની ચૂકવણી જે તે ગામના જંત્રીના આધારે કરવાની હોય છે. ઓલગામની જંત્રી 22 ચોરસ મીટર લેખે છે,જે અન્ય ગામોની સરખામણીએ ખુબ જ ઓછી હોવાની રજૂઆત ખેડૂતોએ કલેકટર સમક્ષ કરી છે.જેથી ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અને બજાર કિંમતને ધ્યાને લઇ યોગ્ય કિંમત નક્કી કરવા ઘા નાંખવામાં આવી છે. વળતરની યોગ્ય કિંમત નક્કી કરવામાં નહિ આવે ત્યાં સુધી કામ બંધ કરી દેવાના આદેશની માગ કલકેટર સમક્ષ કરવામાં આવી છે. પાવરગ્રીડ હાઇટેન્શન લાઇનમાં સંપાદિત જમીન વિગેરેનું વળતર આપવામાં અન્યાય થતાં ખેડૂતો રોષે ભરાયા હતા.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:07 am

રાહતના સમાચાર:દાનહ નમો મેડિકલ કોલેજમાં પીજી કોર્સનો પ્રારંભ

દાનહ અને દમણ દીવ માટે મેડિકલ શિક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ થઇ છે.પ્રશાસનના પ્રયાસથી દાનહના સાયલીમાં આવેલી નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં હવે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ એમડી અને એમએસની શરૂઆત કરવામાં આવી છે. આ નિર્ણયથી મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં એક નવો યુગ શરુ થયો છે.સંસ્થા દ્વારા શરૂઆતમાં એનેસ્થેશિયોલોજી,જનરલ સર્જરી,જનરલ મેડિસિન,પેથોલોજી,કોમ્યુનિટી મેડિસિન અને ગાયનેકોલોજી સહિતના મહત્વના વિભાગોમાં પીજી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નમો મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યા પછી સ્થાનિક મેડિકલ ગ્રેજ્યુએટ્સને સ્પેશિયલાઈઝેશન માટે ગુજરાત,મહારાષ્ટ્ર સહિત બીજા રાજ્યમાં જવું પડતું હતું.હવે આ સુવિધા ઘર આંગણે જ અભ્યાસક્રમો ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓનો સમય,નાણા અને મહેનત બચશે.તેઓ પોતાના વતનમાં રહીને જ ઉચ્ચતમ ગુણવત્તાનું મેડિકલ શિક્ષણ મેળવી શકશે. નમો હોસ્પિટલમાં પણ આ નવી સુવિધાને કારણે મોટો સુધારો જોવા મળશે.પીજી રેસિડન્ટ ડોક્ટરોની ઉપલબ્ધતાને કારણે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ મજબૂત બનશે અને પ્રદેશની જનતાને પણ આનો લાભ મળશે. પીજી કોર્સની ફીને લઇને હાલ વિવાદ ઉભો થયો છે. દેશની અન્ય મેડિકલ કોલેજ કરતા નમો મેડિકલ કોલેજમાં ફી વધારે હોવાનું વાલીઓ અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. પીજી કોર્સ માટે આ મુજબની ફી નું માળખું નક્કી કરવામાં આવ્યું નમો મેડિકલ કોલેજ એન્ડ નમો હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ એમડી/એમએસ માટે એડમિશન એકેડેમિક વર્ષ 2025-26 માટે ફી એડમિશન ફી 5 હજાર,એન્યુઅલ ટ્યુશન ફી દર વર્ષ માટે એમડી-એનેસ્થેશિયોલોજી માટે 12 લાખ રૂ.એમડી-કોમ્યુનીટી મેડિસીન માટે 7 લાખ રૂ.એમડી ડેરમેટોલોજી એન્ડ વેનેરિયોલોજી માટે 25 લાખ રૂ.એમડી-જનરલ મેડિસિન માટે 20લાખ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત એમએસ જનરલ સર્જરી માટે 20 લાખ,એમડી-માઈક્રોબાયો લોજી માટે 7 લાખ,એમએસ-ઓબ્સ્ટેટ્રિ ક્સ એન્ડ ગાયનેકોલોજી માટે 20 લાખ,એમએસ-ઓ ફથાલમોલોજી માટે 15 લાખ, એમએસ-ઓર્થોપેડિકસ માટે 20 લાખ, એમડી-પિડીયાટ્રીક્સ માટે 20 લાખ, એમડી-પેથોલોજી માટે 7 લાખ,એમડી-રેડિયો ડાયગ્નોસિસ માટે 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલો છે. આ સાથે લાઈબ્રેરી ફી બે હજાર,હોસ્ટેલ ફી 4 હજાર અને સિક્યુરિટી ડિપોઝીટ માટે 1 લાખ રૂ. નક્કી કર્યા છે જે રિફન્ડેબલ છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:07 am

ફૂડ વિભાગની દંડનીય કાર્યવાહી:દમણમાં ગુટખા વેચનારને 50 હજારથી લઇ બે લાખનો દંડ

દમણમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની તાબડતોડ કાર્યવાહી કરી હતી. દમણમાં ગુટકા વેચાણ પર પ્રતિબંધ હોવા છતા ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવાની જાણકારી મળતા જ હોલ સેલર પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દમણની ઘણી બધી કિરાણાની દુકાનો પર ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડેલે વિમલ અને અન્ય ગુટકા વેચનારાને રૂપિયા 50 હજારથી 2 લાખ સુધીના દંડ કરવામાં આવ્યા છે. સાથે જ પકડાયેલા ગુટખાને પણ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યાં સુધી દંડના ભરે ત્યાં સુધી દુકાન ખોલી શકસે નહીં. ઉલ્લેખનીય છે કે, દમણ એક પર્યટન સ્થળ છે, એની સુંદરતા જાળવી રાખવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. કારણકે ગુટખાનું સેવન કરનાર લોકો, ગુટખા ખાઈને જ્યા ત્યાં થૂંકી દેતા હોય છે, જેના લીધે દમણની સુંદરતાને દાગ લાગી રહ્યો છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ગુટખા સહિત તમાકુ સંબંધિત પદાર્થનું વેચાણ કરનારા ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે. જો દુકાનમાંથી ગુટખાનો જથ્થો મળશે તો દુકાન પણ સીલ કરવાની કાર્યવાહી કરાશે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:05 am

દેહદાન:મહેતા પરિવારનાં મૃતક મહિલાનું દેહદાન

વલસાડમાં અગ્રણી મહેતા પરિવારના બાબુભાઇ મહેતાના ધર્મપત્ની સ્વ.રંજનબેન બાબુભાઇ મહેતા ( આશા સેલ્યુલોસ)નું 80 વર્ષની વયે દુ:ખદ અવસાન થયું હતું. જેને લઈ આર એન સી ફ્રી આઇ હોસ્પીટલની ટીમના સહયોગથી એમનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું એમણે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના નેજા હેઠળ અગાઉ દેહદાનનો સંકલ્પ પત્ર ભર્યો હતો. એ અન્વયે આર. એમ. ડી. આયુર્વેદ કોલેજ અને હોસ્પીટલ , વાઘલધરાના *યોગેશભાઇ અને એમની ટીમના સહયોગથી એમનું દેહદાન કરવામાં આવ્યું હતું. માનવતાના આ ઉમદા વિચાર અને અમલના કાર્ય માટે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા વલસાડ બાબુભાઇ , જીનેશભાઇ , અભયભાઇ તથા સમગ્ર મહેતા પરિવારનું ઋણ સ્વીકાર કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:03 am

'તમારે અને ચાવડાએ બંનેએ 75-75 લાખ આપવા પડશે':ગુજરાત યુનિ.ના પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલે પ્રોફેસરને કહ્યું- 'તમને ખબર જ છે મારા લેટરના કારણે 4 પ્રોફેસર સસ્પેન્ડ થયા છે'

ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ બે પ્રોફેસર પાસે 75-75 લાખ રૂપિયા માગ્યા હોવાની ત્રણ મહિના પહેલા યુનિવર્સિટી સમક્ષ ફરિયાદ થયા બાદ તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જે તે સમયે શ્વેતલ સુતરિયા અને પ્રોફેસર વચ્ચે પૈસાની લેતીદેતી મામલે થયેલી કથિત વાતચીતની ઓડિયો ભાસ્કરને મળી છે. જેમાં શ્વેતલ સુતરિયા બે પ્રોફેસરના મળી દોઢ કરોડ રૂપિયાની માગણી કરતા સાંભળવા મળી રહ્યા છે. ઓડિયોમાં પ્રોફેસરને ધમકીની ભાષામાં કહી રહ્યો છે કે, તમને ખબર જ છે કે, મારા PM અને CMને લખેલા લેટરના કારણે જ ચાર પ્રોફેસરનો ભૂતકાળમાં સસ્પેન્ડ થયેલા છે. અગાઉ જે પ્રોફેસરો સસ્પેન્ડ થયા છે તે મારા કારણે જ થયા છે- શ્વેતલ સુતરિયાગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પાસેથી 75 લાખની માંગણી કરનાર પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયાનો લાખો રૂપિયાની માંગણી કરતો કથિત ઓડિયો ભાસ્કરને મળ્યો છે. શ્વેતલ સુતરીયાએ HRDCના પ્રોફેસરને રૂબરૂ બોલાવીને કહ્યું હતું કે, તમારે 75 લાખ અને ચાવડાએ 75 લાખ આપવા પડશે નહીં તો તમારા વિરુદ્ધ થયેલી ફરિયાદ બદલ યુનિવર્સિટી કમિટી બનાવશે જેમાં સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન ચેરમેન રહેશે અને હું પણ સભ્ય રહીશ. એટલું જ નહીં શ્વેતલ સુતરીયાએ એવું પણ કહ્યું હતું કે, અગાઉ કેટલાક પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં વનરાજસિંહ ચાવડા,વિપુલ પટેલ , લખતરીયાને પણ મારી ફરિયાદના કારણ જ સસ્પેન્ડ કર્યા છે.તેમની વિરુદ્ધ મે જ ઉપર સુધી લેખિતમાં ફરિયાદ કરી હતી.HRDCના પ્રોફેસરને એવું પણ કહ્યું હતું કે તમારે કુલપતિ બનવું હોય તો મારું જરૂર પડશે.કુલપતિ બનાવવા મારી સેન્સ લેવામાં જ આવશે.હું 24 વર્ષથી પરિષદમાં છું. વાસણા ખાતેની ઓફિસ પર પ્રોફેસરને બોલાવી પૈસા માગવામાં આવ્યાશ્વેતલ સુતરીયાએ પ્રોફેસરને તેમની વાસણા ખાતેથી ઓફિસે બોલાવ્યા હતા.જ્યાં ચા પાણીથી વાતચીતની શરૂઆત કરી હતી જે બાદ પ્રોફેસરે કારણ પૂછતા સુતરીયાએ લાખો રૂપિયાની માંગણી કરી હતી.સુતરીયાએ એવું પણ કહ્યું હતું કે પૈસા ન આપે તો અન્ય સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન સાથે મળીને કમિટી બનાવી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી.જોકે આશિષ અમીનનું નામ આપતા તેઓ પણ સુતરિયા સાથે જોડાયેલા હતા કે કેમ તેને લઈને સવાલ છે. પ્રોફેસર જગદીશ જોશીની ફરિયાદ બાદ શ્વેતલનું રાજીનામું લેવાયું હતુંABVPમાં વર્ષોથી રહેલા અને ગુજરાત યુનિવર્સિટીના બીજી ટર્મના સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક થયેલા શ્વેતલ સૂતરિયાએ ગુજરાત યુનિવર્સિટીના હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર જગદીશ જોશીને પોતાની ઓફિસ બોલાવીને 75 લાખ રૂપિયાની માગણી કરી હતી. ગ્રાન્ટમાંથી જે રકમ આવે છે એમાંથી પૈસા આપવા પડશે એવું કહ્યું હતું અને જો પૈસા ના આપે તો જગદીશ જોશી વિરુદ્ધ અને તેમના વિભાગ વિરુદ્ધ એક ફરિયાદ કરીને તેની તપાસ કમિટી બનાવી જગદીશ જોશીને ઘર ભેગા કરવાની ધમકી આપી હતી. આ અંગે જગદીશ જોશીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પુરાવા સાથે ફરિયાદ કરી હતી, જેથી કુલપતિ કચેરી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. લાંબા વિવાદ બાદ અને મીડિયામાં મામલો સામે આવતાં શ્વેતલ સૂતરિયાનું રાજીનામું ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યું હતું. સરકારી ભરતી પરીક્ષા લેતા OSD પાસે પણ 75 લાખ માગ્યા હતાશ્વેતલ સૂતરિયાએ માત્ર એક વિભાગના વડા પાસે નહીં, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના સેક્શન ઓફિસર અને સ્પર્ધાત્મક સરકારી ભરતીની પરીક્ષાની કામગીરી સંભાળી રહેલા ઓએસડી ધર્મેન્દ્ર ચાવડા પાસે પણ 75 લાખ રૂપિયાની માગણી કરી હતી. પરીક્ષામાં થતી આવકમાંથી 75 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો તેમની સામે પણ ફરિયાદ કરવાની ધમકી આપીને એમાં તપાસ કમિટીમાં પોતે તથા અન્ય સિન્ડિકેટ સભ્યોને સાથે રાખીને ધર્મેન્દ્ર ચાવડાને પણ ઘર ભેગા કરી દેવાની ધમકી આપી હતી. ઓડિયો મામલે શ્વેતલ પરીખનો વાત કરવાનો ઈન્કારગુજરાત યુનિવર્સિટી દ્વારા ઑડિઓ ક્લિપ સાથેની ફરિયાદ મળતા FSL માં પરીક્ષણ કરાવ્યું હતું.FSL રિપોર્ટ આવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા ઓડિયો ક્લિપ સાથેની ફરિયાદ સરકારને કરવામાં આવી હતી.સરકાર દ્વારા આદેશ મળતા જ ગુજરાત યુનિવર્સિટીએ તાત્કાલિક EC ની બેઠક બોલાવી હતી જેમાં શ્વેતલ સુતરીયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.ઓડિયો મામલે દિવ્યભાસ્કરે શ્વેતલ સુતરીયાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે વાતચીત કરી નહોતી.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:00 am

શિલ્પા શેટ્ટી ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ રેસ્ટોરાં ખોલશે:મુંબઇના રિચેસ્ટ લોકોમાં ફેમસ 'બૅસ્ટિયન' હવે ગુજરાતમાં, 1 લાખ ચો.ફૂટ જગ્યામાં ડાઇનિંગ ડેસ્ટિનેશન બનાવશે

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુંબઈ ખાતે 'બૅસ્ટિયન એટ ધ ટોપ' રેસ્ટોરાં દેશની સૌથી લોકપ્રિય સેલેબ્સ રેસ્ટોરાંમાની એક ગણાય છે, ત્યારે પ્રીમિયમ ફૂડ એન્ડ બેવરેજીસ (FB) ગ્રૂપ બૅસ્ટિયન હોસ્પિટાલિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક લાખ ચોરસ ફૂટ જગ્યામાં વર્લ્ડ ક્લાસ ડાઇનિંગ અને લાઈફસ્ટાઇલ ડેસ્ટિનેશન ઊભું કરશે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી બૅસ્ટિયન ગ્રૂપના કો-ફાઉન્ડર છે. જેઓ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આ રેસ્ટોરાંને ઓપરેટ કરશે. આ પ્રોજેક્ટ સેન્ટ્રલ પાર્કના ફેઝ-1નો ભાગ છે. જેની આસપાસ પબ્લિક પ્લાઝા, ઇવેન્ટ એરિયા, જોગિંગ અને સાયકલિંગ ટ્રેક્સ તેમજ વાઇબ્રેન્ટ સોશિયલ સ્પેસિસનો વિકાસ કરાશે. ઉલ્લેખનીય છે કે, ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) ગિફ્ટ સિટી હવે માત્ર બિઝનેસ હબ તરીકે જ નહીં પરંતુ એક સંપૂર્ણ Live, Work, Play ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે. 'બિઝનેસમેન, રહીશો અને મુલાકાતીઓને લાભ થશે': સંજય કૌલગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સંજય કૌલે જણાવ્યું હતું કે, બૅસ્ટિયનના પ્રવેશથી ગિફ્ટ સિટીના લાઈફસ્ટાઇલ અનુભવમાં એક નવું પરિણામ ઉમેરાશે. જેનો બિઝનેસમેન, રહીશો અને મુલાકાતીઓને લાભ થશે. આ ડેવલોપમેન્ટ મોર્ડન, વાઇબ્રેન્ટ અને ગ્લોબલી કનેક્ટેડ અર્બન સેન્ટર તરીકે ગિફ્ટ સિટીના વિઝનમાં ટોચની બ્રાન્ડ્સના વધતા વિશ્વાસને દર્શાવે છે. 'વર્લ્ડ ક્લાસ સ્થળ બનાવવાનું લક્ષ્ય': રણજીત બિન્દ્રાબૅસ્ટિયન ગ્રૂપના CEO અને ફાઉન્ડર રણજીત બિન્દ્રાએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ભારતના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિઝન, ઇનોવેશન અને વૈશ્વિક મહત્વાકાંક્ષા પર બનેલી જગ્યા છે. બૅસ્ટિયનને અહીં લાવવાનો ઉદ્દેશ્ય ફક્ત અમારી હાજરીને વિસ્તારવાનો નથી, પરંતુ એક એવી વસ્તુનો ભાગ બનવાનો છે જે રાષ્ટ્રના વિકાસમાં ઉમેરો કરે છે. અમારું લક્ષ્ય એક એવું સ્થળ બનાવવાનું છે જે ખરેખર વર્લ્ડ ક્લાસ લાગે અને તે રીતે ભોજન અને સંસ્કૃતિની ઉજવણી કરે. ફૂડ, કલા, સંગીત અને સંસ્કૃતિનો અનુભવ કરાવશેસીફૂડ કેન્દ્રિત રેસ્ટોરાં તરીકે શરૂ થયેલું બૅસ્ટિયન ભારતની ડાઈનિંગ અને નાઈટલાઈફને રજૂ કરે છે. ઇટાલિયન (બિઝા), પેરુવિયન-એશિયન (ઇન્કા), અમેરિકન કમ્ફર્ટ (વન સ્ટ્રીટ), બ્લોન્ડી કેફે અને અમ્માકાઈ જેવા વિવિધ કુંકિગ આર્ટને આગળ વધારી છે. જે હવે ફૂડથી આગળ વધીને કલા, સંગીત અને સંસ્કૃતિનું મિશ્રણ લાઇફસ્ટાઇલનો અલગ અનુભવ કરાવશે. આ નવા રેસ્ટોરાંમાં ગ્લોબલ અર્બન લાઈફનો લક્ઝૂરિયસ અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. 'Live, Work, Play' ડેસ્ટિનેશનની ઓળખ ઊભી કરશેબૅસ્ટિયન ગ્રૂપ ગિફ્ટ સિટીમાં એક સંપૂર્ણ 'Live, Work, Play' ડેસ્ટિનેશનની ઓળખ ઊભી કરશે. જેને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, ફાઇવ-સ્ટાર હોટેલ, ક્લબ અને આગામી મેટ્રો કનેક્ટિવિટી જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સમર્થન મળી રહ્યું છે. બૅસ્ટિયન દ્વારા સિટીમાં વધુ એક આઉટલેટ સ્થાપવા માટે વાટાઘાટો ચાલી રહી છે, જેનાથી ગુજરાતમાં તેની હાજરી વધુ મજબૂત બનશે. 'બૅસ્ટિયન' રેસ્ટોરાંમાં 50 ટકા હિસ્સો શિલ્પા શેટ્ટી ધરાવે છેશિલ્પાએ 2019માં બેસ્ટિયન બ્રાન્ડની શરૂઆત કરી, રેસ્ટોરેચર રણજિત બિન્દ્રા સાથે ભાગીદારી કરી. હવે તે ભારતભરમાં અનેક રેસ્ટોરન્ટની કો-ફાઉન્ડર છે અને બ્રાન્ડમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. શિલ્પાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે તે ભારતની સૌથી મોટી રેસ્ટોરન્ટ માલિકોમાંની એક છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:00 am

હાથના કાંડા અને ગળુ અડધું કપાયેલું, લોહીથી તરબોળ લાશ:દવાની ચિઠ્ઠીથી યુવતીની ઓળખ થઈ, CCTVમાં દેખાતા બે યુવક ઝડપાયા પણ કેસ ન ઉકેલાયો

અજય દેવગનની ફિલ્મ દૃશ્યમનો એક ખૂબ જાણીતો ડાયલોગ છે. 2 ઔર 3 ઓક્ટોબર કો ક્યા હુઆ થા? સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મર્ડરની એક એવી ઘટના બની, જેમાં પોલીસ સામે પણ કંઈક આવો જ સવાલ ઉભો થયો હતો. દર મંગળવાર અને બુધવારે પબ્લિશ થતી ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આ વખતે વાંચો સુરતનો શોકિંગ કેસ. પ્રેમ પ્રકરણ, ચોરી અને અઘટિત માગણી પછી થયેલી હત્યામાં માત્ર ત્રણ જ દિવસના ઇન્વેસ્ટિગેશમાં એટલા ઉતાર ચઢાવ આવ્યા જેની પોલીસને પણ કલ્પના ન હતી. દશેરાના બે દિવસ બાદ પછીની વાત છે. સુરત નજીક આવેલા ગામડાનો ખેડૂત વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં ખેતરે જઈ રહ્યો હતો. સાથે કેટલાક મજૂરો હતા. ખેતરમાં શું-શું કામ કરવાનું છે તેની વાતો ચાલતી હતી, પણ રસ્તામાં એમની નજર કેટલીક વસ્તુ પર પડી અને તમામ લોકો ઉભા રહી ગયા. ખેતર તરફ જવાના કાચા રસ્તે કેટલોક સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો. ભોજનનું પાર્સલ, પ્લાસ્ટિકની બેગ, કેટલોક કટલરીનો સામાન તેમજ દવાઓ. ખેતરોની વચ્ચે અવાવારું જગ્યાએ આવો સામાન ક્યાંથી આવ્યો હશે? તમામ લોકોને આ વાતની શંકા ગઈ. ખેડૂત અને તેમની સાથેના મજૂરોએ આમતેમ નજર દોડાવી. થોડે દૂર હજુ કંઈક એવું જોનાથી મનમાં વધુ પ્રશ્નો ઉભા થયા. ધાબડો ઓઢીને કોઈક સુતું હોય એવું લાગ્યું. ખેડૂતે અંદરોઅંદર વાત કરી અને કહ્યું, ત્યાં કોઈ હોય એમ લાગે છે. ચાલો જઈને જોઈએ. તમામ લોકો એ બાજુ આગળ વધ્યા. તેમની નજર ધાબડા પર જ હતી. વધુ નજીક પહોંચ્યા તો જોયું ધાબડો ઓઢીને કોઈ ઉંઘી નહોતું રહ્યું. પરંતુ તેની નીચે લાશ સંતાડવામાં આવી હતી. લોહીથી લથપથ એક યુવતીની લાશ જોઈને ખેડૂત અને મજૂરોના ધબકારા વધી ગયા. થોડી વાર સુધી તો કોઈને સમજાયું નહીં કે શું કરવું. ધાબડો હટાવીને જોયું તો યુવતી અજાણી હતી. એટલે કે કોઈ ઓળખતું ન હતું. ખેડૂતે હવે સૌથી પહેલો ફોન પોતાના ભત્રીજાને ફોન કરીને કહ્યું, ખેતરમાં અજાણી યુવતીની લાશ પડી છે. થોડી જ વારમાં લોકો ઘટનાસ્થળે ભેગા થવા લાગ્યા. જો કે આ અરસામાં જ ખેડૂતે 112 નંબર ડાયલ કરીને પોલીસને પણ જાણ કરી દીધી હતી. વહેલી સવારે કોઈક યુવતીનું મર્ડર થયાના સમાચાર મળતા જ પોલીસ પણ ચોંકી. કંટ્રોલ રૂમમાંથી ઓલપાડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. એટલે પીઆઇ સહિતનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો. પોલીસે ટોળે વળેલા લોકોને દૂર ખસેડ્યા અને લાશનું નિરિક્ષણ કરીને તપાસ શરૂ કરી. યુવતીનું ગળું તિક્ષ્ણ હથિયાર વડે અડધું કપાયેલું હતું. ગળામાંથી ઘણુ લોહી વહી ચૂક્યું હતું. બન્ને હાથના કાંડા પણ નિર્મમ બનીને કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ હત્યારો હાડકું કાપી નહોતો શક્યો. તેણે યુવતીના પેટ તેમજ અને થાપાના ભાગે પણ તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. બ્રુટલ મર્ડરના આ કેસમાં પોલીસ માટે સૌથી મોટો પકડાર હતો યુવતીની ઓળખ કરવી. કારણે હત્યાના સમાચાર સાંભળીને એકઠા થયેલા લોકોમાંથી એક પણ વ્યક્તિ એવો ન હતો, જે આ યુવતીને ઓળખતો હોય અથતો પોતાના વિસ્તારમાં ક્યારેય જોઈ હોય. પોલીસ લાશનું નિરિક્ષણ કરતી હતી ત્યારે જોયું કે યુવતીના જમણા હાથ ગુજરાતીમાં “નિતેશ” લખ્યું હતું. જેની નજીક અંગ્રેજીમાં “N” આલ્ફાબેટનું છૂંદણું હતું. ડાબા હાથે પણ પતંગિયાનું છૂંદણું પડાવેલ હતું. તેમજ હાથમાં મોરની ડિઝાઇનવાળા પાટલા પહેરેલા હતા. પોલીસે વધુ માહિતી મેળવવા માટે વેરવિખેર પડેલો સામાન તપાસ્યો. લાશની બાજુમાં એક બેગ પડી હતી, જેમાંથી યુવતીના કપડા, સીમકાર્ડ તેમજ બીજો સામાન મળી હતો. નજીકમાં પ્લાસ્ટિકની બીજી એક બેગ પડી હતી. તેમાંથી કટલરીનો સામાન તથા દવાઓ મળી. આ દવા ઉપર બિલિમોરાની મેંગુશી જનરલ હોસ્પિટલ સ્ટિકર હતું. લાશની ઓળખ કરવાની દિશામાં આ પહેલું પગેરું હતું. લાશની હાલત જોતાં પોલીસને લાગ્યું કે કદાચ દુષ્કર્મના ઇરાદે હત્યા કરવામાં આવી હોઈ શકે. શરૂઆતના તબક્કે ઓલપાડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ કેસની તપાસ કરી રહ્યો હતો. પણ કેસ વધુ ગંભીર જણાતા લોકલ ક્રાઇમ બ્રાંચ અને SOG એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ. આમ, કુલ 15 અલગ-અલગ ટીમે તપાસમાં લાગી ગઈ. સૌથી પહેલા મૃતક યુવતી કોણ છે એ સવાલનો જવાબ મેળવવાનો હતો. એટલે એક ટીમને મેંગુશી જનરલ હોસ્પિટલ મોકલવામાં આવી. બીજી ટીમને નજીકના વિસ્તારમાં જેટલા પણ CCTV ફૂટેજ મળે તેની તપાસ માટે કહેવામાં આવ્યું. જ્યારે અન્ય ટીમો મહિલાના અને તેના હાથ પરના છૂંદણા, હાથના પાટલાના ફોટો પાડીને સોશિયલ મીડિયા મારફતે તપાસ શરૂ કરી દીધી. આ દરમિયાન હોસ્પિટલ પહોંચેલી પોલીસ ટીમને પહેલી સફળતા હાથ લાગી. મેંગુશી હોસ્પિટલમાંથી મૃતક યુવતી બારડોલીની સોનલ રાઠોડ હોવાનું જાણવા મળ્યું. પોલીસની એક ટીમ આ વાતને કન્ફર્મ કરવા માટે બારડોલી પહોંચી. આ ઉપરાંત ત્યાંના ખબરીઓને પણ કામે લગાડી દીધા. એટલે મૃતક યુવતીના પરિવારનો મોબાઈલ નંબર મળી આવ્યો. હવે આ કેસમાં એક બાદ એક ખુલાસા થવાના શરૂ થયા. પોલીસને જાણવા મળ્યું કે સોનલ ઉર્ફે ક્રિષ્ના રાઠોડ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલા જામણિયા ગામની મૂળ વતની હતી. સોનલે લગ્ન બારડોલી તાલુકાના એક ગામડામાં રહેતા નિતેશ નામના યુવક સાથે થોડા વર્ષે પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. તેનાથી સોનલને સંતાનમાં 12 વર્ષનો એક દીકરો અને 7 વર્ષની દીકરી પણ હતી. બન્નેનું લગ્નજીવન ઘણા વર્ષો સુધી સુખેથી ચાલ્યું પણ થોડાક સમય પહેલા સોનલના જીવનમાં એક નવું પાત્ર આવ્યું. સોનલ તેના પતિ નિતેશ સાથે રહેતી હતી, તે દરમ્યાન છુટક મજુરી કામ કરતી હતી. મજુરી કામ માટે તે રિક્ષામાં બેસી જતી હતી. એ સમયે બારડોલીના જ રિક્ષા ચાલક શોએબ શેખના સંપર્કમાં આવી. સમય જતાં સોનલને શોએબ ગમવા લાગ્યો અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. હત્યા થઈ તેના લગભગ છએક મહિના પહેલાં સોનલે તેના પતિ અને બે બાળકોને તરછોડી દીધા અને પોતાના પ્રેમી શોએબ સાથે ભાગી ગઈ હતી. તેણીએ પોતાના પિયર પક્ષના લોકો તેમજ પતિ અને બાળકોની જરા પણ ચિંતા ન કરી અને પ્રેમી સાથે રહેવાનું નક્કી કર્યું. પોલીસને શંકા ગઈ કે ક્યાંક શોએબે જ સોનલની હત્યા નથી કરી ને? શંકાની સોય સોનલના પ્રેમી શોએબ તરફ જ હતી. બાતમીદારે શોએબ ગુનાખોર હોવાની પોલીસને જાણકારી આપી. હવે પોલીસે પોતાના પોર્ટલ eGujCopમાંથી (ઇ-ગુજકોપ) શોએબની ડિટેલ કાઢી અને ખબરીએ આપેલી વાત કન્ફર્મ થઈ ગઈ. સોનલનો પ્રેમી રીઢો ચોર હતો અને અગાઉ પણ તેની અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ધરપકડ થઈ ચૂકી હતી. પોલીસે હવે શોએબી શોધખોળ હાથ ધરી. આ જ સમયગાળામાં અન્ય દિશામાં તપાસ કરી રહેલી ટીમને એવી માહિતી હાથ લાગી જેનાથી આ કેસના ઇન્વેસ્ટિગેશનમાં નવો વળાંક આવ્યો. જ્યાંથી લાશ મળી ત્યાંથી જ બે સીમકાર્ડ પણ પોલીસને મળી આવ્યા હતા. જેથી એક ટીમે એ દિશામાં પણ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજી ટીમ એક-એક કરતા નજીકના 150થી વધારે CCTV ફેંદી વળી હતી. એમાં થોડી સફળતા હાંસલ થઈ. અમુક CCTVમાં સોનલ સાથે બે યુવકો ચાલતા દેખાયા. અત્યાર સુધી પોલીસે શોએબને શંકાના દાયરામાં રાખ્યો હતો. પણ હવે શોએબ બાદ બીજા શખ્સો પણ આ લીસ્ટમાં સામેલ થઈ ગયા. જો કે આ બન્નેની ઓળખ કરવાની બાકી હતી. CCTVના ફૂટેજમાં જોવા મળ્યું કે સોનલ આ બંને યુવકો સાથે 3 ઓક્ટોબરે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ રિક્ષામાં બેસીને ક્યાંક જઈ રહી હતી. તેના હાવભાવ પરથી લાગતું હતું કે સોનલ આ બન્ને યુવકોને ખૂબ સારી રીતે ઓળખતી હશે. કારણ કે ત્રણય લોકો અન્ય એક CCTV ફૂટેજમાં ખૂબ શાંતિથી વાતચીત કરતા પણ દેખાયા હતા. રિક્ષામાં બેસીને થોડા આગળ ગયા પછી બે યુવકોમાંથી એક યુવક જમવાનું પાર્સલ લેવા માટે ગયો હતો. આમ, આ તમામ ઘટનાક્રમ એકબીજા સાથે જોડાયેલો હતો. પોલીસને જાણકારી મળી કે સોનલ તેના પ્રેમી શોએબ સાથે ભાગી ગઈ પછી શોએબના એક મિત્ર વલ્લભ વસાવા ઉર્ફે અનવરને ત્યાં બન્ને લોકો રહેતા હતા. વલ્લભનું ઘર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મીસરાદ ગામમાં આવેલું હતું. વલ્લભ અને શોએબની મિત્રતા થવા પાછળનું કારણ પણ ફિલ્મી હતું. શોએબ ચોરીના ગુનામાં જેલમાં ગયો હતો. ત્યારે તેની ઓળખાણ જેલમાં વલ્લભ વસાવા સાથે થઈ હતી. શોએબની જેમ જ વલ્લભ પર પણ ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હતા. જેલમાંથી છૂટ્યા બાદ શોએબ સોનલને ભગાડીને વલ્લભના ગામડે એટલે કે મિસરાડમાં રહેતો હતો. ત્યાંથી વલ્લભ તથા શોએબ બન્ને ટ્રેનમાં બેસીને ચોરી કરવા જતા હતા. ત્યારે સોનલ પણ તેમની સાથે રહેતી હતી. ટ્રેનમાં ચોરી કરવા દરમિયાન વલ્લભની ઓળખાણ રાહુલ યાદવ નામના એક યુવક સાથે થઈ. રાહુલ રખડતો ભટકતો રહેતો હતો. એટલે આ ત્રિપુટીમાં રાહુલ પણ સામેલ થયો અને વલ્લભ, શોએબ, રાહુલ અને સોનલ સાથે રહીને વડોદરાથી સુરતના રેલવે સ્ટેશન તેમજ ટ્રેનોમાં ચોરી કરતા હતા. સોનલનું મર્ડર થયા બાદ સોનલની લાશના ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આ ફોટા વલ્લભની પત્ની સુધી પણ પહોંચ્યા. એટલે તેણી ગભરાઈ ગઈ. વલ્લભની પત્નીને લાગ્યું કે ક્યાંક મારા પતિ સાથે પણ કંઈક અજુગતો બનાવતો નહીં બની ગયો હોય ને? કારણ કે કેટલાક દિવસથી વલ્લભ પણ તેની પત્નીના સંર્પકમાં ન હતો. વલ્લભની પત્નીએ પોતાના બનેવીને બોલાવીને આખા વાત માંડીને કરી. પછી વલ્લભની પત્ની, પત્નીનો બનેવી અને દીકરો એમ ત્રણેય લોકો ઓલપાડ પોલીસ સ્ટેશને તપાસ કરવા પહોંચી. ત્યાંથી વલ્લભનો તો અતોપતો ન લાગ્યો પણ પોલીસને ફાયદો થયો. તેમને વલ્લભ વિશે થોડી વધુ માહિતી મળી ગઈ. જે આગળ જતા ઇન્વેસ્ટિગેશનમાં કામ લાગી. એક વિચિત્ર ઘટના એ બની કે જ્યારે વલ્લભની પત્ની તેની ચિંતા કરતી પોલીસ સ્ટેશને બેઠી હતી એ દરમ્યાન વલ્લભ તેના મિત્ર રાહુલને લઈને પોતાના ઘરે પહોંચ્યો હતો. એટલું જ નહીં તેણે ઘરના ફળીયામાં ઉભા રહીને બૂમો પાડી કે મેં મર્ડર કર્યુ છે… સોનલનું મેં મર્ડર કર્યું છે. વલ્લભ ઘરે આવીને બૂમો પાડતો હતો ત્યારે તેનો નાનો દીકરો પણ ત્યાં હાજર હતો. તેણે તરત જ પોલીસ સ્ટેશન ગયેલા મોટાભાઈને ફોન કરીને આ વાતની જાણ કરી. એટલે પોલીસને પણ ખબર પડી ગઈ કે વલ્લભ ઘરે આવ્યો છે. તરત જ પોલીસની એક ગાડી દોડાવવામાં આવી અને વલ્લભના ગામડે પહોંચી ગયા. પણ પોલીસ આવે એ પહેલાં જ વલ્લભ અને રાહુલ ફરાર થઈ ગયા. એક પછી એક આશ્ચર્યજનક ઘટનાઓ ઘટી રહી હતી. સામાન્ય રીતે કોઈ હત્યારો પોતે હત્યા કરી છે એવી બૂમો ન પાડે. પણ કેસમાં વલ્લભે આવું અજુગતું વર્તન કર્યું. જો કે વલ્લભે હત્યા કરી છે કે નહીં એ વાત પાક્કી ન હતી. છતાં તેના પર શંકા કરવી જરૂરી હતી. સત્ય જાણવા માટે પણ એને પકડવો પણ જરૂરી હતો. નાસતા-ફરતા આરોપી વલ્લભ અને રાહુલ સંભવિત જે વિસ્તારમાં હોઈ શકે એની જાણકારી પરિવાર પાસેથી મેળવીને પોલીસે શોધખોળ ચાલુ રાખી. ત્યારે પોલીસને બાતમી મળી કે બન્ને આરોપી પાલેજની બજારમાં રખડી રહ્યા છે. પોલીસ ગણતરીની મિનિટોમાં ગાડી લઈને ત્યાં પહોંચી અને બન્નેને ઝડપી પાડ્યા. આમ, 3 ઓક્ટોબરે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો અને વલ્લભ તેમજ રાહુલ નામના બે શંકાસ્પદ આરોપી 5મી તારીખે ઝડપાયા. સોનલ હત્યાકાંડમાં આ પહેલી ધરપકડ હતી. પરંતુ આ કેસમાં હજુ પણ ફિલ્મી સ્ટોરીની માફક ઉતારચઢાવ આવવાના હતા. બંને આરોપીને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી ત્યારે તેમનો ભૂતકાળ સામે આવ્યો. વલ્લભ ઉર્ફે અનવર વસાવા ભરૂચના ટંકારીયા ગામમાં એક ખેડૂતને ત્યાં ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતો હતો. ત્યાં ત્રણ વર્ષ તનતોડ મહેનત કરી. છતાં રૂપિયા ઓછા પડતા હતા. એટલે તેણે ડ્રાઇવિંગનું કામ છોડી દીધું અને અલગ-અલગ રેલવે સ્ટેશને રખડીને ચોરી કરવાનું શરૂ કરી દીધું. સુરતથી સાયણ, કીમ, પાનોલી, પાલેજ, ભરૂચ, વડોદરા સુધીના રૂટ પરની ટ્રેનમાં રખડીને મોબાઇલ ફોન અને પર્સની ચોરી કરતો હતો. તેની સામે કીમ, કામરેજ, કોસંબા અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના દાખલ થયા હતા. ઘણીવાર ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરતા પણ વલ્લભ પકડાતો હતો. ત્યારે તેની પત્ની અથવા સાઢુભાઈ જામીન પર છોડાવતા હતા. જ્યારે રાહુલ ઉર્ફે રાજેશ યાદવ મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પાસેના ફૂલપુરનો વતની હતો. તેના પિતા ફુલચંદ બિલીમોરામાં નોકરી કરતા હતા. ત્યારે રાહુલ તેના મોટા ભાઈ સાથે બિલીમોરા રહેવા આવી ગયો હતો. પરંતુ તેના પિતા ગુસ્સામાં તેને મારતા હોવાથી ઘણા સમયથી તે ઘરેથી ભાગીને એકલો રખડતો હતો. આ દરમિયાન વલ્લભ મળ્યો અને બન્ને લોકો મળીને ચોરી કરવા લાગ્યા હતા. શોએબનો ભૂતકાળ પણ વલ્લભ અને રાહુલ જેવો જ હતો. તે રિક્ષા ચલાવવાની સાથે વાહન તેમજ અન્ય ઘણી વસ્તુની ચોરીમાં સંડોવાયેલો હતો. 16થી વધુ ગુનાનો આરોપી શોએબ જેલમાં ગયો ત્યારે તેની ઓળખાણ વલ્લભ ઉર્ફે અનવર સાથે થઈ. બંને મિત્રો બની ગયા. શોએબ સોનલને ભગાડીને લઈ ગયો ત્યારે તે વલ્લભના ઘરે જ રહેતો હતો. આ તમામ માહિતી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન વલ્લભ અને રાહુલે આપી હતી. પરંતુ જ્યારે તેમને સોનલના મર્ડર વિશે પૂછવામાં આવ્યું તો બન્ને આરોપીઓએ કંઈક અલગ જ કહાની પોલીસ સામે રજૂ કરી. પોતાના ઘરે જઈને સોનલનું મર્ડર કર્યું હોવાનો દાવો કરનારો વલ્લભ પોલીસ સામે બોલ્યો, સોનલને મેં નહીં પરંતુ તેના પ્રેમી શોએબે મારી નાખી હતી. આ વાત પોલીસ માટે પણ આશ્ચર્યજનક હતી. કારણ કે સોનલનું છેલ્લું લોકેશન અને CCTV ફૂટેજના પુરાવાને ધ્યાને લેતા તેણીની સાથે વલ્લભ અને રાહુલ જ હતા. એ ઘટનાક્રમમાં શોએબ દેખાતો ન હતો. આ કહાનીમાં સૌથી મોટું ટ્વિસ્ટ એ હતું કે વલ્લભ અને રાહુલની ધરપકડ થઈ એ પહેલાં જ પોલીસને શોએબ મળી આવ્યો હતો. પરંતુ આ બન્ને આરોપીઓને આ વાતની જાણ કર્યા વગર જ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી, જેથી તમામ પક્ષની જાણકારી મળી શકે. વલ્લભ અને રાહુલના નિવેદન બાદ ફરી એકવાર શોએબ શંકાના ઘેરામાં હતા. પરંતુ ઘણા સવાલો હજુ પણ પોલીસના મનમાં હતા. વલ્લભે પોલીસને કહ્યું કે શોએબે સોનલનું મર્ડર કર્યું છે. તો તેણે પોતે મર્ડર કર્યાની બૂમો કેમ પાડી?શું ખરેખર શોએબે જ સોનલનું મર્ડર કર્યું હતું?સોનલને હત્યા પહેલાં હોસ્પિટલ કેમ લઈ જવામાં આવી હતીસોનલ હોસ્પિટલમાંથી નીકળી ત્યારે શોએબ ક્યા હતો? આ તમામ સવાલોના જવાબ પરથી પડદો ઊંચકાશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:00 am

'નરેશ પટેલના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ':જયરાજસિંહ, ગણેશ અને વાયરલ ઓડિયો પર જિગીષા પટેલના સ્ફોટક ખુલાસા

જયરાજસિંહ હોય કે અનિરુદ્ધસિંહ હોય, હું બધા ગુંડા તત્વો સામે લડું છું....નરેશ પટેલના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે....પાર્ટી મને તક આપશે તો હું ચોક્કસ ગોંડલથી ચૂંટણી લડીશ....નિખિલ દોંગા મને નડવા તો નહીં જ આવે.... આ શબ્દો છે જિગીષા પટેલના. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામે બાંયો ચડાવનારા જિગીષા પટેલે હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે. થોડા દિવસ પહેલાં ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં જિગીષા પટેલે જયરાજસિંહ, ગણેશ ગોંડલ, નરેશ પટેલ અને ખોડલધામ તેમજ ગોંડલથી ચૂંટણી લડવા અંગે ખુલીને વાત કરી છે. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને જિગીષા પટેલના જવાબ.... દિવ્ય ભાસ્કર: શું તમે 2027માં ગોંડલથી ચૂંટણી લડવાના છો? શું તમે કોઇ પ્રોમિસ સાથે જ AAPમાં જોડાયા છો?જિગીષા પટેલ: ના, હું આમ આદમી પાર્ટી સાથે કાર્યકર તરીકે જોડાઇ છું. જો મારે માત્ર ટિકિટ લેવા જ પાર્ટીમાં જોડાવું હોત તો હું ચૂંટણી નજીક આવે ત્યારે અચાનક પાર્ટીમાં જોડાઇ જાત અને ટિકિટ મેળવી લેત. પરંતુ મારે પરિણામ અને પરિવર્તન લાવવું છે. હું ગોંડલમાં મારા બનતા તમામ પ્રયત્નો કરીશ અને પછી પાર્ટીને નિર્ણય લેવા દઇશ. જો પાર્ટી મને તક આપશે તો હું ચોક્કસ ત્યાંથી લડીશ અને પરિણામ પણ લાવીશ. દિવ્ય ભાસ્કર: જો કોઇ કમિટમેન્ટ નથી મળ્યું તો સ્થાનિક નેતાઓ અત્યારથી કેમ તમારો વિરોધ કરી રહ્યા છે? નિમિષા ખૂંટની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી.જિગીષા પટેલ: જ્યાં મોટો પરિવાર હોય ત્યાં નાના-મોટા મતભેદ હોય છે. જે કોઇ પ્રોબ્લેમ હશે તે હું અને નિમિષાબેન સાથે મળીને ઉકેલીશું. મને નથી લાગતું કે તેમને મારાથી કોઇ વાંધો હોય. જો પાર્ટી નક્કી કરશે કે નિમિષાબેનને ટિકિટ આપવી છે, તો હું તેમની સાથે ઢાલ બનીને ઊભી રહીશ અને જો પાર્ટી નક્કી કરશે કે મને ટિકિટ આપવી છે તો નિમિષાબેન મારી પડખે ઊભા રહેશે. મને તેમના પર એટલો વિશ્વાસ છે. દિવ્ય ભાસ્કર: ગણેશ ગોંડલે દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં 2027માં ગોંડલથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો તેમને ભાજપમાંથી અને તમને આપમાંથી ટિકિટ મળે છે તો જંગ કેવો રહેશે?જિગીષા પટેલ: 2027ની ચૂંટણીમાં ટિકિટ આપતા પહેલા ભારતીય જનતા પાર્ટીએ જોવું જોઇએ કે રાજકુમાર જાટના કેસમાં તેણે કેવા ખેલ ખેલ્યા છે, પોલીસને પૈસા આપીને તેણે કેટલી રમતો રમી છે. જનતા સામે તેમને ખુલ્લા પાડવા જોઇએ પરંતુ આ બધી વાતને અવગણીને પણ ભાજપ જો ગણેશ ગોંડલને ટિકિટ આપશે તો એટલું ચોક્કસ કહીશ કે ગોંડલની જનતા હવે તેને સ્વીકારશે નહીં. દિવ્ય ભાસ્કર: અનેક લોકોને સવાલ છે કે તમે જયરાજસિંહ સામે જ વધારે મજબૂતાઇથી કેમ બોલો છો? અનિરુદ્ધસિંહ રીબડાએ પણ અત્યાચાર કર્યા છે.જિગીષા પટેલ: જયરાજસિંહ હોય કે અનિરુદ્ધસિંહ હોય હું બધા ગુંડા તત્વો સામે લડું છું. જ્યારે પણ હું મારો અવાજ ઉઠાવું છું આ બધા સામે ઉઠાવું છું. એક-બે વર્ષ પહેલા હું કેશુબાપાના પ્રોગ્રામમાં આસપાસના ગામડાઓમાં ફરી હતી ત્યારે મને ત્યાંની હકીકત અંગે ખબર પડી. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું એક વખત તો આ લોકોને સરકારની સામે ખુલ્લા પાડીશ કે અહીંયા શું પરિસ્થિતિ છે. 'સરકારને બધી ખબર જ હોય છે પરંતુ જ્યાં સુધી કોઇ અવાજ ન ઉઠાવે ત્યાં સુધી નિરાકરણ આવતું નથી. માત્ર અવાજ ઉઠાવવાની જરૂર હોય છે. પરિવર્તન ચોક્કસ આવે છે કારણ કે જો મને ડર લાગે તો એમને પણ લાગે. મારું માથું ફૂટે તો પણ લોહી નીકળે અને એમનું માથું ફૂટે તો પણ લોહી જ નીકળે.' દિવ્ય ભાસ્કર: જયરાજસિંહ જામીન પર છે. તેમના કેસની ફાઇલ ફરીથી ખૂલી શકે છે. એ શું તમારી લડતનું પરિણામ છે?જિગીષા પટેલ: અગાઉ પણ અનેક લોકોએ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ તેમને દબાવી દેવામાં આવતા હતા. હું ગોંડલમાં ફરતી હોઉં અને કોઇ મારી સાથે ફોટો પણ પાડે તો તેને જયરાજસિંહના બંગલે બોલાવીને ધમકાવવામાં આવે છે. એ સમયે તેમની સામે લડનારું કોઇ નહોતું એટલે લોકો ડરીને પાછીપાની કરી લેતા હતા. હવે તેમને ખુલ્લા પાડી દેવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કર: તમે લડાઇ શરૂ કરી ત્યારે ગણેશ ગોંડલે નિવેદન આપ્યું હતું કે 'જીગીશા, તું તારું ઘર નથી સંભાળી શકતી. વડીલોને મોકલ ત્યારે હું બધા જવાબ આપીશ.' આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો?જિગીષા પટેલ: પહેલાં તો આ નિવેદનથી તેની મેન્ટાલિટી જુઓ કે તે માતાઓ-બહેનો વિશે શું વિચારે છે. શું માતાઓ-બહેનોએ માત્ર ઘર જ સાચવવાનું છે? અને જો ઘર સાચવવાની જ વાત હોય તો હું આખા દેશને મારું ઘર માનું છું. 'તેમણે તેમના માતા ગીતાબા જાડેજાને કેમ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા? ગણેશ ગોંડલ કે જયરાજસિંહ એમ બેમાંથી કોઇને ટિકિટ મળે તેમ નહોતી. એકની ઉંમર ઓછી હતી જ્યારે એકને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી એટલે તેમની પણ બેવડી નીતિ છે. એક તરફ તે માને છે કે મહિલાઓએ ઘર સંભાળીને બેસી રહેવું જોઇએ. બીજીતરફ તે પોતાના સ્વાર્થ માટે મહિલાઓનો ઉપયોગ કરે છે.' દિવ્ય ભાસ્કર: શું આગામી સમયમાં ગોંડલમાં મોટી મીટિંગ થશે અને શું કેજરીવાલ ત્યાં આવીને જયરાજસિંહ સામે અવાજ ઉઠાવશે?જિગીષા પટેલ: હા, બની શકે. દિવ્ય ભાસ્કર: જ્યારે ખોડલધામ બનવાનું હતું ત્યારે નરેશ પટેલ એવું કહેતા કે ખોડલધામમાં રાજકારણ નહીં આવવા દઇએ પરંતુ હવે એવું નથી લાગતું કે ખોડલધામ રાજકારણનો અડ્ડો બની ગયું છે?જિગીષા પટેલ: ખોડલધામ અમારા દરેક માટે આસ્થાનું કેન્દ્ર છે. નાનામાં નાના ખેડૂતથી લઇ મોટા ઉદ્યોગપતિના ઘરેથી પૈસો આવ્યો ત્યારે ખોડલધામ બન્યું છે. 'મંચ પરથી એવું કહે છે કે પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી પટેલ હોવો જોઇએ. બીજી તરફ જ્યારે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમની સામે લેઉવા પટેલની દીકરી ઊભી હતી. છતાં પણ તેમણે ખોડલધામના દરેક પદાધિકારીઓને અમિત શાહ માટે પ્રચાર કરવાનું ફરજિયાત કર્યું. લોકો હવે જાણે છે કે તમે સમાજની સામેવાળા લોકોની મદદ કરો છો કારણ કે તેમને રાજકારણના રોટલા શેકવા છે. તેમને ધંધાકીય રીતે ક્યાંક ને ક્યાંક આ લોકો નુકસાન પહોંચાડે છે એટલે તેઓ તેમના દબાણમાં આવીને આ બધું કરે છે. હું તો નરેશ પટેલને એમ કહું છું કે તેમણે એકાદી પાર્ટી પકડી પોતાનું વર્ચસ્વ દેખાડી દેવું જોઇએ.' દિવ્ય ભાસ્કર: તમને નરેશ પટેલ કોના તરફી હોય તેવું લાગે છે? આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ?જિગીષા પટેલ: હું એટલું જ કહી શકું કે નરેશ પટેલના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે. સ્ટેજ પરથી અલગ રીતે ભાષણ કરે છે અને અંદરખાને તેમનું કામ કંઇક અલગ હોય છે અને અમે તે બધાના ભોગ બની ચૂક્યા છીએ. 'હું તમને એક કિસ્સો કહી આ વાત સમજાવીશ. પાટીદાર અનામત આંદોલન સમયે વસ્ત્રાલના જતીન પટેલે કાયદાકીય લડત આપી હતી. પટેલોનો સર્વે થવો જોઇએ તેવી પિટિશન સુપ્રીમ કોર્ટમાં 8 વખત થઇ. 7 વખત પિટિશન ફગાવી દેવામાં આવી હતી. જ્યારે આઠમી વખત મંજૂર થઇ ગઇ હતી.' 'અમે તે સમયે કેસની ફાઇલ લઇને નરેશ પટેલ સહિત તમામ સંસ્થાના આગેવાનો પાસે ગયા. અમે તેમનો સહયોગ માગ્યો. અમે કહ્યું સુપ્રીમના વકીલની ફીનો ચાર્જ બે કરોડ રૂપિયા છે. અમારે કંઇ નથી જોઇતું. અમે તેમનો એકાઉન્ટ નંબર આપીએ છીએ તમે અમને આર્થિક મદદ કરો પરંતુ એક પણ વ્યક્તિએ અમને મદદ કરી નહોતી. જો સમાજની પડી હોત તો તેમણે મદદ કરી હોત. એટલે અમને તો પહેલેથી જ ખબર પડી ગઇ હતી કે સંસ્થાઓ ક્યારેય સમાજને કામ નથી આવતી. દરેક સમાજની તમામ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીએ હાઇજેક કરી લીધી છે અને તે સંસ્થા દ્વારા જે તે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે.' દિવ્ય ભાસ્કર: તમે પહેલા ખોડલધામના સંગઠનમાં પણ હતા. શું 2027માં તમને ટિકિટ મળશે તો નરેશ પટેલ તમને સપોર્ટ કરશે?જિગીષા પટેલ: નરેશ પટેલ ખોડલધામ સંસ્થાના ચેરમેન છે, તેઓ સમાજના આગેવાન છે એટલે હું તેમને તેમની ફરજ યાદ અપાવી દઉં કે તેમણે રાજકીય રંગ છોડીને સમાજના હિત માટે સમાજ સાથે ઊભું રહેવું જોઇએ. તે તેમની ફરજમાં આવે છે. બાકી તેઓ મારી સાથે કેવું વર્તન કરશે તેનો જવાબ તમારે નરેશ પટેલ પાસેથી જ લેવો જોઇએ. 'જો તેમને એવું લાગશે કે હું તેમને નડું છું તો તેઓ મારું પત્તું કાપવાનો પ્રયત્ન કરશે. આવા અનેક ઉદાહરણો તમે આ વિસ્તારમાં જોયા હશે. જે બેવડી નીતિથી તેઓ કામ કરી રહ્યા છે તે નીતિ હવે તેમણે બંધ કરવી જોઇએ. નરેશ પટેલની ઇમેજ સાથે અમારે કોઇ લેવાદેવા નથી પરંતુ ખોડલધામની ઇમેજ ખરાબ થાય છે.' દિવ્ય ભાસ્કર: નરેશ પટેલ વિશેની તમારી એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. તે અંગે નરેશ પટેલ સાથે કોઇ વાતચીત થઇ હતી?જિગીષા પટેલ: મેં પહેલાં પણ કહ્યું હતું કે તે ઓડિયો ક્લિપ એડિટ થયેલી હતી. એ પછી મને ખોડલધામમાંથી સંપર્ક કરીને કહેવામાં આવ્યું હતું કે તમે આ મુદ્દે વધારે કંઇ બોલતા નહીં. એટલે મેં કહ્યું હતું કે તમારે કહી દેવું જોઇએ કે જે વસ્તુ થઇ જ નથી, તેનો ખુલાસો કરવો જોઈએ. એટલે તેમણે હસમુખભાઇ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાવીને એવું કહ્યું હતું કે અમારી સાથે આવું કંઇ થયું નથી. દિવ્ય ભાસ્કર: અત્યાર સુધી લોકોની માન્યતા એવી હતી કે નિખિલ દોંગા આવનારી ચૂંટણી લડી શકે છે. જેના માટે તમે બધા મહેનત કરી રહ્યા હતા પરંતુ તમારા રાજકારણમાં જોડાવાથી નવા સમીકરણો ઊભા થયા છે. રાજકારણમાં તમારી એન્ટ્રીને નિખિલ દોંગા કેવી રીતે જુએ છે?જિગીષા પટેલ: હું એક સ્પષ્ટતા કરી દઉં કે નિખિલ દોંગા સાથે મારે ક્યારેય કોઇ વાતચીત નથી થઇ. હું અલ્પેશ કથીરિયા સાથે સંપર્કમાં છું. અલ્પેશ કથીરિયા ભલે પહેલેથી ભાજપમાં હતા પરંતુ જ્યારે જરૂર પડી છે ત્યારે અમે સાથે રહ્યા છીએ. જ્યારે પણ તકલીફ પડે ત્યારે અમે બધા એકસાથે એટલા માટે હોઇએ છીએ કારણ કે અમે બધા એક માનસિકતાના છીએ. અમે આંદોલનમાંથી ઊભા થયા છીએ. 'નિખિલ દોંગા ગોંડલમાં 'યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ' ચલાવે છે અને સામાજિક કાર્ય કરે છે. મને એટલી ખાતરી છે કે જો પાર્ટી મને ટિકિટ આપશે તો આવનારી ચૂંટણીમાં નિખિલ દોંગા મને નડવા તો નહીં જ આવે. કારણ કે તેમની હાલની જે પરિસ્થિતિ છે તે એ જ લોકોના કારણે છે જેની સામે હું લડી રહી છું. હું તેમની પાસે સપોર્ટની આશા તો ન રાખી શકું પરંતુ નડવા તો નહીં જ આવે.' દિવ્ય ભાસ્કર: મંત્રીમંડળ વિસ્તરણમાં ભાજપે જયેશ રાદડિયાનું પત્તું કાપી નાખ્યું. આને તમે કેવી રીતે જુઓ છો?જિગીષા પટેલ: પહેલા તો મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું એ જ મોટું નાટક છે. દર વખતે ભાજપ આવું જ કરે છે. ભ્રષ્ટાચાર કરી જેઓ આંખે ચડી ગયા હોય, તેવા લોકોને દૂર કરી દે છે એટલે લોકો એવું વિચારે કે ચાલો આ ભ્રષ્ટાચારી લોકો નીકળી ગયા અને તેમનું શાસન આગળ ચાલ્યું જાય. 'જયેશ રાદડિયાને એટલા માટે પડતા મૂકવામાં આવ્યા કારણ કે તેઓ ઇફ્કોની ચૂંટણીમાં મેન્ડેટ વગર પણ તેઓ જીતી ગયા. જયેશ રાદડિયા તેમની સામે પડ્યા અને જીતી ગયા એટલે તેમને ક્યાંક એવું લાગતું હશે કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાં આપણાથી મોટા થઇ રહ્યાં છે. ભાજપની આવી જ નીતિ છે. જે લોકો મોટા થાય તેને ગમે તેમ કરીને પાડી દેવાના.' 'જયેશ રાદડિયા અને ખાસ કરીને તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાને પ્રત્યે સમાજના લોકોમાં ખૂબ માન-સન્માન છે. જયેશ રાદડિયા પણ વિઠ્ઠલભાઇના વિચારો સાથે કામ કરતા આવ્યાં છે અને તેમણે સમાજના અને પોતાના વિસ્તારના કામો કર્યાં છે. જો આવી જ રીતે કામ કરતા રહેશે તો આગામી સમયમાં મજબૂત પરિણામ લાવી શકશે.' દિવ્ય ભાસ્કર: તમે ગોંડલમાં વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવાની વાત કરી હતી. એ કામ ક્યાં પહોંચ્યું છે અને ક્યારે પ્રતિમા સ્થપાશે?જિગીષા પટેલ: વિનુ શિંગાળાની પ્રતિમા લાગશે, લાગશે અને લાગશે જ. તેના માટેની તૈયારીઓ અમે ખૂબ મોટા પાયે કરવાના છીએ. વિનુ શિંગાળાને ગોંડલના લોકો પ્રત્યે પ્રેમ હતો અને તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વડીલોની સલાહ લઇ દરેકનું માર્ગદર્શન લઇ વિનુ શિંગાળાને માન-સન્માન સાથે અમે ત્યાં બેસાડી શકીએ તેવા પ્રયત્નો ચાલુ છે. દિવ્ય ભાસ્કર: હાલમાં ખેડૂતોને થયેલા પાક નુકસાન અંગે તમે શું માનો છો?જિગીષા પટેલ: હું જે-તે વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોને કહેવા માંગુ છું કે ચૂંટણી સમયે મત લેવા માટે તેઓ છેલ્લી ઘડીએ અનેક મહેનત કરતા હોય છે. ભજિયાંની પાર્ટી કરતા હોય છે, તાવડા માંડતા હોય છે. ઘણી જગ્યાએ દારૂના ટ્રક ઉતરતા હોય છે. તે સમયે એક-એક વ્યક્તિને રૂપિયા અપાતા હોય છે. 'ઘણા ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે આ વખતે આવક આવશે તેમાંથી આપણા ઘરના અવસરનો ખર્ચ કાઢીશું. આજે તે ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે. આ બધી પરિસ્થિતિ સમજી દરેક ધારાસભ્ય-સાંસદે પોતાના વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવું જોઇએ. જેમાં આવા તમામ ખેડૂતના દીકરા-દીકરીઓના લગ્ન કરવા જોઇએ.' 'ખેડૂતની જવાબદારીને ઓછી કરવાનો આ એક સમય છે. ચૂંટણી સમયે તો આટલો બધો ખર્ચો તમારી જાત પાછળ કરો છો એટલે ખેડૂતોની સહાય માટે તમારે લેટર લખી-લખીને સરકાર પાસે માંગવાની જરૂર નથી.' 'ધારાસભ્યો-સાંસદો કૌભાંડો કરી-કરીને આટલા બધા આગળ તો આવી જ ગયા છે. બે નંબરના ધંધાના પૈસાનો ક્યાંક સારી જગ્યાએ ઉપયોગ તો કરો. જ્ઞાતિ-જાતિનો ભેદભાવ બાદ કરીને તમારા વિસ્તારના જે ઉદ્યોગપતિઓ છે તેમની પાસે જેમ ચૂંટણીમાં ઉઘરાણું કરો છો તેમ આ કામ માટે પણ પૈસાની ઉઘરાણી કરો અને ખેડૂતોની મદદ કરો.'

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 6:00 am

ભૂવાઓનું બાળકો-બીમારો સાથે અમાનવીય કૃત્ય:ભૂલકાંઓને ભૂવાઓ તારથી આપી રહ્યા છે ડામ

મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીના જમાનામાં પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો અંધવિશ્વાસની જાળમાં ફસાઈ રહ્યા છે. આવી જ એક પરંપરા, માન્યતાઓ અને અંધશ્રધ્ધાના સમન્વય ની વચ્ચે વલસાડ,ડાંગ,તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભૂવાઓ દ્વારા હજુ પણ કુમળી વયના બાળકોને ડામ આપવાની વેદનાભરી પ્રથાઓનો ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ઘટસ્ફોટ થયો છે. દાયકાઓથી ચાલતી આવી જૂની પરંપરા, માન્યતાઓ અને અંધશ્રદ્ધા વચ્ચે બાળકો સાથેની આ પ્રથામાં દુ:ખ સાથે નાનાં બાળકોની ચીસ સાંભળી શકાય છે, લોકો તેને ડામ કહે છે. દુઃખ આપતી ડામ આપવાની આ કૂપ્રથામા ગામમાં જ્યાં સૂર્ય ઊગતાં પહેલા ગ્રામ્ય મહિલાઓ પોતાના નાનાં બચ્ચાને કાંધે લઈને ગામના એક ઘરમાં જાય છે. તે ઘરના આંગણામાં માટીની ભૂમિએ બેઠેલો વ્યક્તિ આગને હવા આપી રહ્યો છે અને આગમાં લોખંડના તારને ગરમ કરે છે. ગામની મહિલાઓ પોતાના વ્હાલસોયા બા‌‌ળકોને ભૂવા તરીકે ઓળખાતા આ શખસને સોંપે છે. ભૂવો ગરમ લોખંડનાં તારથી બાળકે પેટ પર ડામ લગાવે છે. આ પરંપરા એવો સંતોષ માને છે કે હવેથી બાળકને ક્યારેય દુ:ખ નહીં થાય,પરંતુ બાળકનું રૂદન વેદનાની ચીસ દુઃખ વ્યક્ત કરી દે છે. ખાસ કરીને પેટ ચડવાની બીમારી હોય તો તેની પર ડામ અપાય છે, જેવી બીમારી હોય તે પ્રકારે પીડાદાયી ડામ આપવામાં આવે છે. જેનો મહત્તમ ભોગ બાળકો બને છે. અંધવિશ્વાસમાં સપડાયેલા લોકો બાળકોને ડામ મૂકાવે છેઅંધવિશ્વાસમાં સપાયેલા માતાપિતા - વાલી હજુ પણ જૂની પરંપરાને વળગી રહ્યા હોવાથી તેઓ બાળકોને ડામ મૂકાવે છે. મેડિકલ સાયન્સને પડકારતી આ પ્રથા અંધવિશ્વાસ પર આધારિત છે. ડોક્ટોરો પણ માને છે કે જાગૃતતાના અભાવે અને અજ્ઞાનતાના કારણે આ થઈ રહ્યું છે. પેટ-માથાના દુખાવા, કમરના દુખાવા સહિત અનેક બીમારીમાં ડામ અપાય છેડામ મૂકવાની જૂની પરંપરા અનુસાર, નવજાત 21 દિવસના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધીને પણ ડામ આપવામાં આવે છે. માન્યતા છે કે ડામથી પેટની જે નસ વધે છે તે ઠીક થવાનો દાવો છે. ડામથી પેટમાં પીડા નથી થતી, પગ અને કમરનાં દુખાવા માટે પણ ડામ આપવામાં આવે છે. ભૂવાઓનું માનવું છે કે દવાથી અંદરની સારવાર થાય છે.​​​​​​​ ડામ મૂકનાર સાથે સંવાદ... ભાસ્કર : અમારા બાળકને ડામ મૂકવાનો છે.ભુવા : શનિવારે લઈ આવજો. ભાસ્કર : પણ શાળા ચાલુ છે તો સારું થઈ જશે ને ?ભુવા: સારું થઈ જશે એ તો. ભાસ્કર : મારા મિત્રના છોકરાને પણ મૂકવાનો છે, માથામાં પણ મૂકે કેભુવા : માથામાં ત્રણ ભમર હોય તો માથામાં મૂકે, પેટ ચડતું હોય તો પેટ પર પણ મૂકાય ભાસ્કર : કેટલા રૂપિયા આપવાના થાય ?ભુવા : બીજા તો મોઢું ખોલીને માંગે પણ મને તો ખુશીથી જે આપી જાય એ ચાલે ભાસ્કર એક્સપર્ટ : ડો.આશિષ ગામીત,બાળરોગ નિષ્ણાત, વલસાડ​​​​​​​

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:55 am

CMએ સરપ્રાઈઝ આપી ને મંત્રીઓના મોઢા ખુલ્લા રહી ગયા:વાતોના વડા કરતા નર્સ મેડમનો ખુલાસો, 'આવી ભૂલ ના થવી જોઈએ' કહી માફ કર્યાં?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:55 am

સિટી એન્કર:મેઘપર બોરીચીની સોસાયટીઓમાં એકત્ર થતું ગંદુ પાણી દુષ્કર

ગત રોજના સમસ્ત મેઘપર વિસ્તાર માં વહેતા ગટર, ગટર પાણી ભરાવા અને વરસાદી પાણી ભરાવા ની સમસ્યા વિશે પીડિત સમસ્ત સોસાયટીની એક મિટિંગ આયોજન કરવામાં આવ્યુ હતું. જે બેઠકમાં સમસ્યાની સમીક્ષા માટે અસરગ્રસ્ત સોસાયટીઓમાં કાવેરીનગર, પારસનગર, ભક્તિધામ, ગોકુલધામ, ઘનશ્યામનગર, કૃષ્ણવિલા, પુષ્પ કોટેઝ, આશાપુરા પાર્ક 2, મહાવીરનગર, ભગીરથનગર, શાંતિનગર અને પૃથ્વીનગરના રહેવાસીઓએ હાજરી સભ્યોના મંતવ્યો લેવાયા હતા. અને આગળ શું કર્યાંવાહી કરવી એ મુદ્દે ચર્ચા થઈ હતી. દર વર્ષે આવી સ્થિતિ કેમ બને છે, પાણી ક્યાંથી આવે છે, એ જાણવા મેઘપર સોસાયટી સદસ્ય સમિતિના બે સદસ્યો જાડેજા યોગેન્દ્રસિંહ પુષ્પ કોટેજ અને બારોટ પલરાજભાઈ આશાપુરા સોસાયટી વાળાએ નર્મદા કેનાલથી રવેચીનગર, નવકાર સોસાયટી થઈ દુર્ગમ રસ્તે પગે ચાલીને લગભગ 7 કિલોમીટર સુધી ફરતા જોતા જાણવા મળ્યું કે હાઈવેની 2 સોસાયટીના ગટરનું પાણી કેનાલ નીચે બનાવેલા નાળામાંથી થઈને આ સોસાયટીઓમાં ભરાવો થાય છે. પણ અહીં નિકાલ વ્યવસ્થા ન હોવાથી વરસાદી અને ગટર નું પાણી ત્યાંની અમુક સોસાયટીમાં જમા થઈ જાય છે. ગંદકી સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ પાણીનું વહેણ ફાટક નજીક પુષ્પ કોટેજ અને આશાપુરા સોસાયટી સુધી જાહેર રસ્તા પર વહેતા રાહદારીઓ અને બાળકોને બહુ જ સમસ્યા થાય છે. હવે જ્યારે સમસ્ત મેઘપર વિસ્તાર ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવીષ્ટ થયેલ છે. તેના કાયમી ઉકેલ માટે દરેક સોસાયટીની સહી વાળો ગટર પાણી ફરિયાદ નું એક પત્ર બનાવીને વિનંતી માટે કમિશનરને મળવાનું વિચાર પણ કરવામાં આવ્યું હતુ. તે સાથે ફેલાયેલા ગંદા પાણીમાં ડીડીટી પાવડર છંટકાવ કરવા પણ સુચન થયું હતું. આયોજન જાડેજા યોગેન્દ્રસિંહ અને બારોટ પલરાજભાઈએ સમિતિવતી સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:45 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સંકુલમાં આરોગ્ય તંત્રની ઇમારતો ભાડાના મકાનમાં

ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું, પરંતુ તેના મુળભુત જરૂરીયાતો જેવી કે આરોગ્ય ક્ષેત્રે હજુ પણ મહત્વપુર્ણ પગલાઓ લેવાની તાતી જરૂર છે. દિવ્ય ભાસ્કરની ટીમે આરોગ્યક્ષેત્રની જન સુવિધાઓ અંગે શું હાલાત છે તે જોવા જાત તપાસ કરતા સામે આવ્યું કે છ આરોગ્ય કેંદ્રો પોતાની જમીન અને બિલ્ડીંગના અભાવે ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે. તેમાંય અપુરતો સ્ટાફ છે અને આરોગ્ય કેંદ્રોની પણ જેટલી આવશ્યકતા છે તેના કરતા ઓછા છે. કેંદ્રોને ઉભા કરવા માટે આરોગ્ય વિભાગે અનેક વાર ડીપીએ અને એસઆરસી સાથે પત્ર વ્યવહાર કર્યો પરંતુ દશકાથી તેનો કોઇ નિર્ણય લઈ શકાયો નથી. તાજેતરમાં ડીપીએ દ્વારા મહાનગરપાલિકાની કચેરીઓના નિર્માણ, સીટી બસ માટે, પુસ્તકાલય અને મનપા સ્ટાફ ક્વાટર્સ માટે અલગ અલગ ચાર મોટા પ્લોટની ફાળવણી કરી છે. પરંતુ લોકોના આરોગ્ય માટે જરૂરી એવા આરોગ્ય કેંદ્રો માટે દશકાથી થઈ રહેલી માંગ છતાં ન એસઆરસી કે ન ડીપીએ દ્વારા કોઇ પહેલ કરાઈ છે, જે નિરાશાજનક છે. દિવ્ય ભાસ્કરના કર્મચારીઓએ જમીન પર ઉતરીને ગાંધીધામ સંકુલમાં ઉપલબ્ધ તમામ છ શહેરી આરોગ્ય મંદીર અને ગ્રામીણ આરોગ્ય મંદીરની મુલાકાત લઈને પરિસ્થિતિ તપાસી હતી. જેમાં સામે આવ્યું કે અર્બન પ્રાથમીક હેલ્ડ સેન્ટર (એટલે કે યુપીએચસી આદિપુર 2), યુપીએચસી 1 (સુંદરપુરી), યુપીએચસી 2 (ગણેશનગર), યુપીએચસી 3 ( કાર્ગો + ખોડીયારનગર), યુપીએચસી 4 (મહેશ્વરી નગર), યુપીએચસી 5 (સપનાનગર) આ છએ શહેરી આરોગ્ય કેંદ્ર ભાડાના મકાનોમાં ચાલે છે. જે માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 13થી વધુ પત્રો ગત દસ વર્ષમાં એસઆરસી અને ડીપીએને લખીને સંભવીત ઉપલબ્ધ સ્થાનો પણ દર્શાવ્યા છે. તેમ છતાં તે અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. ઉપરાંત ગાંધીધામના આસપડોસના ગામો જેવા કે અંતરજાળ, શિણાય, ગળપાદરમાં વસ્તી અનુસાર વધુ આરોગ્ય કેંદ્રો હોવા જોઇએ પણ શહેરથી નજીક' હોવાનું બહાનું કરીને તેમને આરોગ્ય કેંદ્રો ફાળવાતા નથી. જો આ તમામ સ્થળે વસ્તી અનુસાર પ્રાથમિક આરોગ્ય કેંદ્ર બને તો લોકોએ રામબાગ હોસ્પિટલ સુધી લાંબુ ન થવું પડે. પરંતુ સતત થઈ રહેલો આ અન્યાય હજુ પણ ચાલુ છે. અધુરામાં પુરુ કિડાણા જેવું મોટુ ગામ કે જેની જનસંખ્યા 15 હજારથી પણ વધુ છે, ત્યાં એક માત્ર પાર્થમિક આરોગ્ય કેંદ્ર જોવા મળ્યું. જેના તબીબ લાંબી રજા પર હોવાથી આસપાસના કેંદ્રોથી નર્સો ઓપીડી સંભાળી રહી છે, તાત્કાલીક અહિ એમબીબીએસ અથવા બીએએનએસ, કે હોમીયોપેથીક તબીબની નિમણુક જરૂરી છે. આ ઉપરાંત 10 આયુષ્માન આરોગ્ય મંદીર પણ ભાડાના મકાનમાં ચાલે છે, ગામડાઓમાં જમીનો રાજ્ય સરકાર હસ્તક હોતા આ પ્રશ્ન હલ થઈ રહ્યો છે, પરંતુ ડીપીએ અને એસઆરસીની જમીનમાં આ પ્રશ્ન હજુ અધ્ધરતાલ છે. લોકોની આરોગ્ય સુવિધા એ મુળભુત સેવા છે ત્યારે તે દિશામાં જરૂરી પગલા ભરાય તે અત્યંત આવશ્યક છે. આમ અત્યાર પોતાનુ મકાન ના હોવા ઉપરાંત ખાલી જગ્યાઓથી પણ આરોગ્ય વિભાગ પીડાઈ રહ્યો છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેમણે સંબંધિત સ્તરે જગ્યાઓ ભરવાની રજૂઆત કરી છે એવુ જણાવ્યુ અને સાથે અન્ય તાલુકાની સરખામણીએ વસ્તીના ધોરણે ઓછા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબસેન્ટર હોવા છતાં ટીમ સારુ કામ કરી રહી છે, તે અંગે સંતુષ્ટી વ્યક્ત કરીને મેન પાવર બાબતે દુઃખ વ્યક્ત કર્યુ હતું. કિડાણામાં તબીબ રજા પર જતા સારવાર માટે આવેલા નર્સના હવાલે!કિડાણામાં ફરજ પરના તબીબે અચાનક પોતાની રજાઓ લંબાવી લેતા અહીના લોકોની ઓપીડીની જવાબદારી આસપાસના અન્ય નર્સ જેવા સ્ટાફને અપાઈ છે. ખરેખર તો અહી જવાબદાર અધિકારીની નિયુક્તી આવશ્યક છે, કેમ કે અહી રોજના 100થી વધુ ઓપીડી થાય છે. અહી આયુષ મેડિકલ ઓફિસરની જગ્યા લાંબા સમયથી ખાલી છે. અન્ય ગામોમાં દર 7 હજારે કેન્દ્ર, ગાંધીધામમાં 45 હજારની જનસંખ્યાએ માત્ર બે જ કેન્દ્ર!ગાંધીધામ તાલુકાનો વિસ્તાર મહાનગરપાલિકામા જતા હજુ આરોગ્ય વિભાગ,આઈસીડીએસ અને શિક્ષણ વિભાગ મહાનગરપાલિકામાં પૂર્ણ રીતે જાય અને જગ્યાઓ ભરાય ત્યાં સુધી હાલની પરિસ્થિતિઓ મુજબ આ વિભાગ મા જગ્યાઓ નહી ભરાય તો લોકોના આરોગ્ય ની સંભાળ કોણ કરશે ? સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ મીઠીરોહર,કિડાણા અને આદિપુર આયુષ મેડિકલ ઓફિસરની જગ્યાઓ ભરેલી હતી. માથક, સંઘડમાં 7 હજારની જનસંખ્યાએ પીએચસી છે. અંતરજાળ, કિડાણા અંતરજાળ મળીનેજ 45 હજાર જેવી વસ્તી થાય છે. પરંતુ અર્બનની નજીક છે તેમ કહીને અહી કેંદ્રો બનાવાતા નથી. ગાંધીધામના ગામોમાં બેજ પીએચસી કિડાણા અને મીઠીરોહરમાંજ છે. ખરેખર તો અંતરજાળ,ગળપાદર, પડાણામાં પણ તેનું નિર્માણ થવું જોઇએ.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:43 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:ગાંધીધામના એક કુમારી, 3 પુરુષોને આર્યનમેનનું બિરૂદ

ગાંધીધામના એક કુમારી સહિત ત્રણ પુરુષોએ આયર્નમેન 70.3 ગોઆ 2025 માં આયર્નમેન નું બિરુદ મેળવ્યું હતું. ગતરોજ ગોઆ ખાતે આયોજિત આયર્નમેન 70.3 ગોઆ 2025' માં ભાગ લઈ કેડીબીએ (કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન) અને ડીએસએ (દેવસ્મૃતિ સ્પોર્ટ્સ એકેડમી) ગાંધીધામથી કચ્છના 4 રમતવીરો ટ્રિથલેટ્સ સ્પર્ધા પૂર્ણ કરી ગાંધીધામ અને કચ્છ નું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં 1900 મીટર સ્વિમિંગ, 90 કિમી સાયકલિંગ અને 21 કિમી ની દોડ 8:30 કલાક ની મર્યાદા માં પૂર્ણ કરવાની હોય છે. જે ગાંધીધામના ચારે સ્પર્ધકોએ તે સમય અવધિ ની અંદર પૂર્ણ કરી હતી. કુમારી દેવાંશી હરાણી કચ્છની પ્રથમ મહિલા અને 3 પુરુષ સ્પર્ધકો માં વિકાસ ચૌહાણ, જેમ્સ ઠક્કર અને યોગેશ તનવાની પણ આયર્નમેનનું બિરુદ મેળવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કુલ 31 દેશોમાંથી 1200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગાંધીધામ ના ચારે સ્પર્ધકોએ અલ્ટ્રામેન એવા પ્રદીપભાઈ અને દીપા કત્રોડિયા પાસે થી છેલ્લા 9 મહિનાથી સઘન તાલીમ લીધી હતી. કેડીબીએ અને ડીએસએ તરફ થી સ્પર્ધકો ને પૂર્ણ સહયોગ સાંપડ્યો હતો અને 25 જેટલા મિત્રોએ રૂબરૂ ગોઆ ખાતે હાજર રહી અને સંપૂર્ણ સ્પર્ધા દરમ્યાન સ્પર્ધકો ના ઉત્સાહ વધાર્યો હતો. અગાઉ પણ ગાંધીધામથી રિકેશ આહિર અને આલોક દેસાઈએ આ બિરુદ હાંસલ કર્યુ છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:41 am

ભાસ્કર એક્સક્લુસિવ:ઓક્ટોબરમાં રેલ્વેના ગાંધીધામ ડિવિઝનથી નમકની 902 રેકની નિકાસ કરી નવો વિક્રમ

ગુજરાતનો ગાંધીધામ વિસ્તાર પશ્ચિમ રેલવેનો સૌથી વધુ માલવાહક વિસ્તાર છે, જ્યાંથી એપ્રિલ 2025 થી ઓક્ટોબર 2025 સુધીમાં ઔદ્યોગિક મીઠું 1.727 મિલિયન મેટ્રિક ટન, ખાદ્ય મીઠાનું 1.119 મિલિયન મેટ્રિક ટન અને કન્ટેનરનું 10.586 મિલિયન મેટ્રિક ટન લોડ કરવામાં આવ્યું,જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. રેલવેના સતાવાર સુત્રોએ જણાવ્યું કે અમદાવાદ ડીવીઝનના ગાંધીધામ એરીયામાંથી ડબલ સ્ટેક કન્ટેનર રેકના 600 દૈનિક એટલે કે માસીક 86,276 રેક ઓક્ટોબર મહીનામાં હેન્ડલ થયું હતું. આ અગાઉ સર્વાધીક ડબલ સ્ટેકનો રેકોર્ડ પ્રતિ મહિના 81,544નો મુંદ્રા પોર્ટનો હતો. તો ગાંધીધામ એરીયાએ ઓક્ટોબર મહિનામાં દૈનિક 902 કન્ટેનર રેક હેંડલ કરી, જેનાથી ઓક્ટોબર માસમાં 1,12,340 નો રેકર્ડ સ્થાપીત થયો હતો. જે અગાઉ સપ્ટેમ્બર, 2025માં 862 રેક્સનો હતો. ગાંધીધામથી સર્વાધિક મીઠુ અને એલપીજીની નિકાસગાંધીધામ એરીયાથી સર્વાધીક 87% માત્ર ઈન્ડસ્ટ્રીયલ મીઠાની નિકાસ કરાય છે. તો બીજા ક્રમે એલપીજી 85% એ આવે છે. ત્યારબાદ વેજ ઓઈલ 47.4%, પીઓએલ 32.6%, ખાધ મીઠુ 29.2%, ખાતર 28%, કન્ટેનર 24.7% અને બેન્ટોનાઈટ 11.8% નોંધાય છે. સરેરાશ રોજના 11.6% વેગન ભરાય છે. જેમાં 28.6% ખાતર, 95.3% ઈન્ડસ્ટ્રીયલ મીઠુ, 22.2% ખાધ મીઠુ, 10.1% કન્ટેનર, 27.0 પીઓએલ, 82.4% એલપીજી, 12.5% બેન્ટોનાઈટ અને 63.6% વેજ ઓઈલ સામેલ છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:39 am

હવે અકસ્માતનો સીલસીલો થશે ઓછો:ગાંધીધામથી આદિપુરના ટાગોર રોડમાં તંત્ર દ્વારા બેરીકેડ લગાવવાનું શરૂ કરાયું

ગાંધીધામથી આદિપુર સુધી ડીવાઈડર પર બેરીકેટ્સ નાખવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ કામગીરીથી સામે આવતા વાહનોની લાઈટ બીજા માર્ગ પર સામે આવતા વ્યક્તિની આંખોને આંજી નહી દે, જેથી અકસ્માતોનો સીલસીલો ઓછો થવા પામશે. ટાગોર રોડના આદિપુર પેટ્રોલ પંપ સામે મુખ્ય માર્ગના ડિવાઇડરમાં ગતરોજ મજૂરો કામ કરતા દેખાયા હતા, પૂછતા જણાવાયું હતું કે ડિવાઈડર ઉપર બેરીકેટ લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રાત્રિ સમય આમને સામને આવતા વાહનોની એલઈડી હેડ લાઇટ આંખોમાં પડતા અને અચાનકથી ઢોરો પણ રસ્તો ક્રોસ કરતા અમુક સમય વાહન ચાલકો ને નુકસાની પામે છે. આ કાર્ય થી વાહન ચાલકો ને રાત્રિ સમય રાહત મળશે. આ અંગે કાર્યરત માર્ગ અને મકાન વિભાગના પ્રવિણભાઈ મારવાડાએ જણાવ્યું કે આ એંટી ગ્લેયર બોર્ડ છે, જે સામેથી આવતા વાહનોના પ્રકાશથી આંખો અંજાઈ ન જાય તે માટે મદદરૂપ બને છે. ગાંધીધામથી આદિપુરના આખા માર્ગમાં તેને લગાવાશે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:38 am

કિશોરીએ કર્યો આપઘાત:અંજારમાં રહસ્યમય સંજોગોમાં કિશોરીએ ફાંસો ખાધો

અંજારના દબડા રાઘવનગરમાં રહેતી 15 વર્ષીય કીશોરીએ સાડી બાંધી રહસ્યમય સંજોગો વચ્ચે ફાંસો ખાઇ લઇ પોતાની જીંદગી ટુંકાવી લીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, અંજારના દબડા વિસ્તારમાં આવેલા રાઘવનગરમાં રહેતી 15 વર્ષીય શ્રુતિ દશરથગીરી ગૌસ્વામીએ તા.9/11 ના સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે રહસ્યમય સંજોગો વચ્ચે સાડી વડે ફાંસો ખાઇ લીધો હોવાનું તેમનો મૃતદેહ અંજાર સીએચસી લઇ આવનાર તેના પિતા દશરથગીરીએ ફરજ પરના તબીબને જણાવતાં તબીબે અંજાર પોલીસને જાણ કરી હતી. કયા કારણોસર 15 વર્ષીય કીશોરીએ અંતિમ પગલું ભરી લીધું તે જાણવા પીએસઆઇ સી.એમ.ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:37 am

સેવાકાર્ય:ભુજની સંસ્થાના રાહબર દ્વારા ચાલતી સેવાની પરબે લોકોની જરૂરતની તૃષ્ણા તૃપ્ત કરી

રાપર તાલુકાના લોદ્રાણીના વતની અને રાપર, માંડવી, ભુજને કર્મભૂમિ બનાવનારા વેલજીભાઈ ગણેશભાઈ (વી.જી.) મહેતા પોતાની જીવન યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી તા.11/11ના 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. દોઢ વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનારા વેલજીભાઈએ માતાની છત્રછાયામાં આપબળે આગળ વધી પીજીવીસીએલમાં કાર્યદક્ષ અધિકારી તરીકે સેવાકાળ પૂર્ણ કરી 2010માં નિવૃત્ત થયા બાદ જૈનાચાર્ય શ્રીમદ વિજય કલ્પતરૂસુરીશ્વર મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી તેમણે પોતાના પુત્ર સ્વ.ચેતનકુમારની સ્મૃતિમાં નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર નામની જૈન સેવા સંસ્થાની તા.1/7/10ના સ્થાપના કરી તેના માધ્યમથી છેલ્લા 16 વર્ષમાં માનવો અને અબોલ જીવોની સુખાકારી માટે અનેક સેવા પ્રોજેક્ટ હાથ ધર્યા હતા. જેની કદર સ્વરૂપે મુંબઈમાંથી તેમને જૈન સમાજના સર્વોચ્ચ ‘સમાજ રત્ન’ એવોર્ડથી વિભૂષિત કરાયા છે. તા.11/11/50ના જન્મેલા વેલજી દાદા આજરોજ જીવન અમૃત પર્વમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે. 16 વર્ષમાં દાતાઓના સહકારથી વિવિધ સેવાકાર્યોછેલ્લા 625 રવિવારના બે લાખથી વધુ લોકોને પૌષ્ટિક અલ્પાહારનું વિતરણ, 3200 કરતાં વધુ વિકલાંગ માટે વિવિધ સ્પર્ધા, સરસ્વતી સન્માન, શૈક્ષણિક ઉપકરણોનું વિતરણ, તહેવારમાં અત્યાર સુધી 23,000 પરિવારોની રાશન કીટ, મીઠાઈ, ફરસાણનું વિતરણ, કોરોનાકાળમાં રૂ.6 લાખ દ્વારા સાધર્મિક ભક્તિ કરાઈ છે. શિયાળામાં 25,000 વિવિધ ગરમ વસ્ત્રોનું વિતરણ, દર ઉનાળામાં 40,000 ગૌવંશને લીલાચારાનું નિરણ. માંડવી, ભુજ અને માંડવીમાં બે છાશકેન્દ્ર પરથી 13 વર્ષમાં 6.25 લાખ લીટર છાશનું વિતરણ જેનો 24 લાખ લોકોએ લાભ લીધો. દાતાઓના સહકારથી તા.31/12/2024 સુધીમાં 4.76 કરોડ જેટલી રકમ અને વસ્તુઓની અનુકંપા, જીવદયા તથા માનવસેવા કાર્યો કરાયા છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:35 am

250 છાત્રોનું સરસ્વતી સન્માન કરાયું:કચ્છ સેવક બ્રાહ્મણ સમાજના સ્નેહમિલન અને અધિવેશનમાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા

કચ્છ સેવક બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે સ્નેહમિલન, સરસ્વતી સન્માન અને 17મા અધિવેશનુ આયોજન કરાયું હતું. અધિવેશનના પ્રમુખ નરેન્દ્ર ફડકે, પ્રમુખ જયેશ આચાર્ય, ટ્રસ્ટી રમેશ જોષી અને પૂર્વ પ્રમુખ જયસુખ આચાર્ય, ડૉ. મનુભાઈ રાસ્તેના હસ્તે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરાઈ હતી. મંત્રી ગોપાલ ભટ્ટે નૂતન વર્ષાભિનંદન પાઠવી ત્રિ-વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ઉપપ્રમુખ નિમેષ દેવધર અને કનૈયાલાલ રાસ્તે, નીરજ તિલકે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સંજય બાપટે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 250 છાત્રોનું સન્માન કરાયું અને આ વર્ષે ઉચ્ચ પદવી મેળવેલા તમામ તેજસ્વી તારલાઓને જ્ઞાતિ ગૌરવ પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા હતા. આ સાથે ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસમાં જ્ઞાતિમાં પ્રથમ ક્રમ મેળવનાર છાત્રોને સમાજ દ્વારા રૂ.5100 રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. પ્રમુખ દ્વારા સમાજના અન્ય કાર્યો અને ભવિષ્યની યોજનાઓ અંગે જ્ઞાતિજનોને માહિતી અપાઈ હતી, શિક્ષણફંડમાં ઉદાર હાથે ફાળો આપવા જણાવ્યું હતું તેમજ આગામી સમૂહલગ્ન તા.10/2/26ના નક્કી કરાયા હોવાની જાહેરાત કરાઈ હતી. પૂર્વ પ્રમુખ સૂર્યકાંત તિલકના હસ્તે જ્ઞાતિ પરિવાર દર્શન વસ્તી પત્રકનું વિમોચન કરાયું હતું. ઓડીટર નૌતમ પી.ભટ્ટ હસ્તે બાળકોને ઇનામ વિતરણ કરાયું હતું, ઇનામ વિતરણની વ્યવસ્થા કારોબારી સમિતિ અને નિલેશ એ. આચાર્ય, પંકજ ફડકે, ધવલ આચાર્ય, સંજય દેવધર તેમજ મહિલા મંડળ દ્વારા કરાઈ હતી. સંચાલન દિલીપ બાપટ અને આભારવિધિ હિરેન આચાર્ય દ્વારા કરાઈ હોવાનું મંત્રી ગોપાલ વી. ભટ્ટની યાદીમાં જણાવાયું છે. નવા હોદ્દેદારો સહિત યુવા પાંખ અને મહિલા મંડળના આગેવાનો વરાયાજ્ઞાતિ નવા પ્રમુખ તરીકે જયેશ એ. આચાર્ય, ઉપપ્રમુખ નિમેષ વી. દેવધર તેમજ યુવા પાંખના પ્રમુખ તરીકે રાજદીપ આર. દેવધર, ઉપપ્રમુખ વિમલ બાપટ તેમજ મહિલા મંડળ પ્રમુખ તરીકે માયાબેન એ. આચાર્ય અને કોકીલાબેન બી. બાપટની સત્તત બીજી વખત સર્વાનુમતે વરણી કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:34 am

રસ્તાનું કરાયું સમારકામ:હાજીપીર માર્ગનું તંત્રના બદલે ખાનગી કંપની દ્વારા સમારકામ !

હાજીપીરથી હાજીપીર ફાટકને જોડતો માર્ગ લાંબા સમયથી ખખડધજ બની ગયો છે. આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર કરાયેલી રજૂઆત બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં ખાનગી કંપની દ્વારા સમારકામ કરાયું છે પણ કંપનીના ડમ્પર દોડી શકે તેવી રીતે મરંમત કરાતાં અન્ય નાના વાહનોના ચાલકો માટે સમસ્યા ઠેરની ઠેર રહી છે. કેટલાક જાગૃત ગ્રામજનોના કહેવા મુજબ હાજીપીરથી હાજીપીર ફાટક સુધીના રસ્તાનું તંત્રના બદલે કંપની દ્વારા રિપેરિંગ કામ કરાયું છે જેમા મેટલ એવી રીતે પાથરવામાં આવી છે કે આ રસ્તે ડમ્પર જેવા ઉંચા વાહનો દોડી શકે છે. કોઇ નાના વાહન કે એમ્બ્યૂલન્સને અહીંથી પસાર થવું હોય તો લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન બની ગયું છે. જવાબદાર તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:34 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:અદાણી મેડિકલ કોલેજના બે તબીબ રાજ્ય સ્તરની ક્વિઝમાં દ્વિતીય

ભુજની અદાણી સંચાલિત GAIMS મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના તબીબો અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય સ્તરની ક્વિઝ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. જઠર અને આંતરડાના દર્દો તેમજ એન્ડોસ્કોપી અંગેની રાજ્યકક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ડો. ભાસ આચાર્ય અને ડો. પાર્થ પોપટે આ સિધ્ધિ મેળવી હતી. સ્પર્ધામાં ગુજરાતની 13 કોલેજોના 52 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ભુજની મેડિકલ કોલેજના બે વિધાર્થીઓએ પેટના દર્દો અને એંડોસ્કોપિક અર્થાત્ દૂરબીન વડે નિદાન બાબતે મેડિકલ વિજ્ઞાન ઉપરનું જ્ઞાન ક્વિઝ દ્વારા પ્રસ્તુત કરી દ્વિતીય નંબર બદલ 15 હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્ત કર્યું હતું. મેડિસિન વિભાગના હેડ ડો.દેવિકા ભટ્ટનું માર્ગદર્શન સાંપડ્યું હતું. આ સિદ્ધિ બદલ મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈ, ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણી અને ડીન ડો. એ.એન.ઘોષે અભિનંદન આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Nov 2025 5:33 am