નોટિસ:કોડકી રોડ પર ખારો ડેમમાં દબાણ હટાવવા સિંચાઈ તંત્રએ આપી નોટિસ
ભુજ નજીક પશ્ચિમે દંતેશ્વર મહાદેવ પાસે ખારો ડેમ આવેલો છે. ભુજ નાની સિંચાઈ યોજના તરીકે સિંચાઈ વિભાગ, પંચાયતમાં આ ડેમની નોંધ છે. આ વર્ષે વરસાદ પડતા જ ઓવરફ્લો થઈ ગયો હતો. પરંતુ આ ડેમના વિસ્તારમાં મોટે પાયે ફેન્સીંગ કરીને દબાણ કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા ત્રણ મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી. જો કે વરસાદનું પાણી ભરાઈ જતા હાલ ત્યાંથી ચાલી ગયેલા માલધારીઓ ફરીથી બેસે નહીં તે માટે સિંચાઈ પેટા વિભાગના અધિક મદદનીશ ઇજનેર સહિતની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી. આ અંગે અ.મ.ઈ. મહેક ગોસ્વામી એ જણાવ્યું કે ભુજ નજીક આવેલા આ સિંચાઈ પંચાયત વિભાગના ડેમમાં દબાણ કરનારને અગાઉ બે વખત નોટિસ આપેલી છે. સ્થળ તપાસ કરી ત્યારે ત્યાં ન હોવાથી ફરીથી જો ત્યાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. ડેમના આવ ક્ષેત્ર પર જંગલ ખાતાની ફેન્સિંગ !ખારો ડેમ સહિત ભુજ અને કચ્છમાં અન્ય તાલુકાના ડેમ પર આવ ક્ષેત્રમાં જમીનની માલિકી બાબતે હંમેશા વિવાદ રહ્યો છે. સામાન્ય રીતે ડેમના પાણી પ્રવાહ આવે છે તે ક્ષેત્ર જંગલ હોય પરંતુ ડેમની નજીકની જગ્યા સિંચાઈ વિભાગ પાસે હોય છે. જેની હદ નક્કી કરવામાં બંને વિભાગ પોત પોતાની રીતે આકલન કરે છે. ખારો ડેમમાં પણ હાલ જે ફેન્સીંગ દેખાય છે તે ફોરેસ્ટ વિભાગે કરી છે. તો બીજી તરફ ડેમની હદ સિંચાઈ વિભાગ પોતાની રીતે કરે છે. ખેડૂત ખાતેદાર સરકારી જમીન પાસ કરાવી બોર પણ કરાવી લે છે !આ ડેમની આસપાસ આવેલી જમીન જે સરકારી હોવા છતાં પણ ત્યાં અમુક ખેડૂત ખાતેદાર સરકારી યોજનામાં બોર માટે મળતી રકમ મંજૂર કરાવીને બોર બનાવી લે છે. સ્થાનિકે જાણકારોના મતે જે વિભાગ બોર માટે કેન્દ્રનું અને રાજ્ય સરકારની યોજના દ્વારા રકમ ફાળવે છે તેમાંથી આસપાસ જ્યાં ભૂગર્ભ જળ ઊંચા હોય ત્યાં બોર કરી અને ત્રણેય ઋતુના પાક મેળવે છે.
અથશ્રી ભુજ નગર કથા:477 વર્ષથી ‘વડોભા’ છું છતાં છેતરાઉં છું
વિક્રમ સવંત 1605 એટલે કે આજથી 477 વર્ષ પહેલા કચ્છના લોકપ્રિય રાજવી ખેંગારજી બાવાએ દરબારગઢમાં મુનિ માણેક મેરજીને જે ખીલી સોંપી અને માણેક મેરજીએ જ્યાં ખીલી ખોડી ત્યાં મારો જન્મ થયો, જી.. હા.., હું આપનું નગર ભુજ ખુદ વિતેલા 477 વર્ષના હિસાબ કહો તો હિસાબ અને ખાટ્ટી-મીઠ્ઠી સ્મૃતિઓ કે યાદો કહો તો યાદો સાથે આજે આપ સૌ નગરજનો સમક્ષ ઉપસ્થિત થયો છું. આજે મારો જન્મદિન છે અને ત્યારે જ જો હું મારા સુખદુખની ચર્ચા મારા પોતાનાં જ લોકો સાથે ન કરું તો કોની સાથે કરું... રાજાબાવા તો હવે છે નહીં અને પોતાને ‘રાજા’ સમજતા લોકો તો મારી દ્રષ્ટીએ (ખાખી) ‘બાવા’ છે એટલે થયું કે ચાલો આજે ખુદ ભુજ જ ઉવાચ... અથ શ્રી ભુજનગર કથા હું ખુદ જ માડું.... પણ સ્મૃતિવન અને પ્રવાસીઓ મારૂ ગૌરવ છે અને ભુજ વાસીઓએ મને તન-મન-ધનથી સાચવ્યો છે વેદના વર્ણવું છુંમારા નામથી ઓળખાતા ભુજવાસીઓ તમારો સૌનો મારા પ્રત્યેનો વ્હાલ-પ્રેમ હું 477 વર્ષથી નજરોનજર જોતો આવું છું. એક સમયે શેર બુલંદખાને આપણા પર આક્રમણ કર્યું હતું અને મારા પર જોખમ ઉભું થયું હતું ત્યારે હિંગલાજયાત્રાએ જવા નિકળેલા નાગાબાવાઓના સંઘે નાગી તલવારો સાથે તમને અને મને બંનેને બચાવવા સહાદત વહોરી લીધી અને એ જ જંગ સ્થળે ભુજીયા ડુંગર પર તમે સૌએ ભૂકંપગ્રસ્તોની યાદમાં ‘સ્મૃતિવન’ ઉભું કરીને દેશ-દુનિયામાં નામ કમાઈ લીધું પણ આ જ સ્થળે સૌ પહેલા ‘શહિદ’ થયેલા નાગા સાધુઓની જમાતને કેમ ભુલી ગયા? એકાદ સ્થળે હવે મોડે તો મોડે પણ એ ઐતિહાસિક યુદ્ધના શહિદવીરો અને નાગપંચમીની વિજયી શાહી સવારીને તો સ્થાન આપો... સાચું કહું 477 વર્ષના મારા અત્યાર સુધીના જીવનકાળ દરમ્યાન 2001થી 2025-26 એ અઢી દાયકામાં મેં જે જોયું-જાણ્યું, અનુભવ્યું અને ભોગવ્યું ને એવું અગાઉ કદી નથી થયું હો! (હવે આમા તમારે નગરવાસી તરીકે રાજી થવું કે દુખી એ તમે નક્કી કરજો હો ભાઈ સાહબ!) હું તો મારી વેદના વર્ણવું છું. છેતરાયેલું શહેર છુંસાંભળજો હો માત્ર અઢી દાયકા, છેલ્લા 25 જ વર્ષમાં તમે રસ્તાના નામે મને છેતર્યો, ગટરના નામે રીતસરનો છેતર્યો, પીવાના પાણીની ‘નળ સે જલ’ સહિતની યોજનાઓમાં છેતર્યો, શૌચાલયોના નામે છેતર્યો અને વ્યાજમાં મુરતડીઓ પણ ઝુંટવી લીધી, હું છેતરાયો મારા હમીરસરના સુશોભીકરણમાં, વરસાદી કુવાઓની આવના પાણી હમીરસરમાં પહોંચાડવામાં, દેશલસરના નામે તો હવે મેં પણ લગભગ ન્હાઇ નાખ્યું છે, હું ઇચ્છતો હતો કે, મારા આ દર પેઢી-પેઢીના બાળકો મારી જ છાતી પર રમે ને મોટા થાય પણ હું છેતરાયો તમોએ એકેય એવું મેદાન ન રાખ્યું અને ન તમે નાના તળાવોને મારી આગોશમાં રહેવા દીધા. પછી હવે કોર્પોરેશનનું રૂપ ધરીશ એવું વિચારીને છેતરાયો અરે હવે મારા રસ્તા જોઇને નાના એવા ચામરો-ચકરાઇ જેવા ગામડા પણ હાંસી ઉડાવે છે, આ ગામ-શહેર વચ્ચેની છેતરપિંડીની પીડા ક્યાં વર્ણવું? અને હા એક સમયે મારૂં નામ લઇને લોકો કહેતા ‘ભુજ બજર સુંઘે અને કચ્છ છીંક ખાય’ અને આજે મારૂં નામ બદનામ થયું છે. જાલી નોટ, નકલી સોનું, આડેધડ પાર્કિંગ થકી છેતરાયા બાદ ‘બસ પોર્ટ’ના નામે હું થોડો ઉત્સાહિત હતો પણ હવે હાલત જુઓ, ઠગાયો ભાઇ ત્યાંય ઠગાયો હવે જોઇએ રેલ્વે સ્ટેશનની આશા ફળે છે કે નહીં? તમને થશે આ તો બધી મારી વેદનાની જ વાતું છે, આનંદ, યશ, સુખની વાત ક્યાં? તો કહી દઉં, ‘સ્મૃતિવન’ મારૂં ગૌરવ વધારે છે, ભૂકંપની આફતમાંથી બધુ ભૂલીને બેઠા થવાની આમ નાગરિકોની તાકાત મારૂં ગૌરવ છે, જમીનોના વધતા જતા ભાવથી હું સહેજ ઓછો પોરસાઉં છું કારણ કે, ઘર વિહોણા અનેક પરિવારો કહેવાતી ચોથી રિલોકેશન સાઇટના નામે મારા ઔદ્યોગિક વિસ્તારને અડીને જીવે છે, હું ઠગોથી પરેશાન છું પણ પ્રવાસીઓ મારૂં મહત્ત્વ જાણીને ખર્ચ કરીને આવે છે તેથી 477 વર્ષથી મારૂં મૂલ્ય જાણું છું, હું ખુશ છું, નગરની સેવાવૃત્તિથી અને દુ:ખી છું ‘પાંકે કુરો’વાળી ભાવનાથી. આરોગ્ય વિષયક ખર્ચના ખાડામાં ઉતરતા નાગરિકોને જોઇને મને દુ:ખ થાય છે તો સામે એક માત્ર પારસી એવા ‘ભુજવાલા’એ પોતાના નામ સાથે મને જોડ્યો એથી હું આનંદિત છું, એક નાની સ્પષ્ટતા પણ વાત નીકળી જ છે તો કહી દઉં ‘હું જિલ્લો નથી, મારા નામ સાથે એક તાલુકો જોડવામાં આવ્યો છું પણ હું ખુદ તો શહેર છું’ તમારા સૌનો છું છતાં ‘અં’ કોઇનું નહીંની જેમ એકલવાયા પણું પણ અનુભવું છું... ચાલો કંઇ સાચું-ખોટું કહેવાયું હોય તો 477 વર્ષના સંગાથી તરીકે માઠું ન લગાડતા અંતે તો આપણે, તમે અને હું એક જ છીએ... શરીર પર કાપા સહ્યાહાં તો વિતેલા 25 વર્ષમાં મારા પર જે અત્યાચાર થયા એની વાત હું કરતો હતો, ભૂકંપ પછી ખબર નહીં કોણે પણ એવી અફવા ફેલાવાઇ કે ‘હવે મને મ્યુઝિયમ બનાવીને જૈસે થે રાખશે’ પણ એવું કંઇ કરવાને બદલે મારા શરીર પર આડા-ઉભા કાપા કરાયા અને 400-450 વર્ષથી જે મારી સાથે જોડાયેલા હતા એવાને ‘ટાઉનપ્લાનિંગ’ નામ આપી અલગ કરવામાં આવ્યા, મને ગળે ટુંપો દેવા 18 કિ.મી.નો એક કહેવાતો ‘રીંગરોડ’ ઉભો કર્યો, ત્રણ-ચાર ટુકડા અલગ કાપી એમને અલગ-અલગ રિલોકેશન સાઇટ નામ આપ્યા અને ત્યાં સ્વતંત્ર પોસ્ટ, પોલીસ, એક્સચેન્જ, દવાખાનું, નિશાળ, મંદિર-મસ્જીદ, ગુરૂદ્વારા સહિતનાં પવિત્ર સ્થાનો આપવાના આપે વચનો આપ્યા પણ ઠાલા વચનોથી શું થાય? આજે ચારેય રિલોકેશન સાઇટોએથી કોઇ સ્વધામ સિધાવે છે ને તો ય ડાઘુઓ લાંબા થઇ જાય છે, ક્યાં સાર્વજનિક સ્મશાન ખારી નદી, સોનાપુરી, આલાવાળુ કબ્રસ્તાન અને ક્યાં આ રિલોકેશન સાઇટો, તમે રખે એમ માનતા કે નાગરિકો તરીકે તમે સરકારમાં છેતરાયા છો? હું ખુદ આખેઆખું શહેર કહું છું કે, હું સૌ પહેલાં છેતરાયો છું આ કામગીરીમાં પણ કહેવું કોને? કમાય કોક, બદનામ ભુજપ્રિય નગરજનો જો આપ સૌ ભૂકંપ, વારંવારના દૂકાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ કોલેરા અને કોરોના જેવી મહામારી સામે થાકી હારી ડરીને અહીંથી ભાગી ગયા હોત તો મારી હાલત પણ મારા વડીલ ધોળાવીરા જેવી થાત એટલે સૌપ્રથમ આપ સૌનો આભાર કે ભુજ ને ભુજ રહેવા દીધું પણ હા આ વચ્ચે વચ્ચે કદિક વળી તમને ‘નયાભુજ’નો સોલો ચડે છે અને તમે લોકો મને પુછ્યા વગર જ મારો ભાઈ સર્જવા જાવ છો, પહેલા તમે રેલ્વે સ્ટેશનને એ નામ આપ્યું પછી નવી વસાહતો ઉભી કરો અને એને મારું જ નામ આપો છો પણ તમને ખબર નથી આ માધાપર, કોડકી, હરીપર મને મ્હેણાં મારે છે ‘મોટા ભા થઈને અમારી જમીન ખાશ, હવે તમે જ કહો મારો કંઈ વાંકગુનો ? રિઅલ એસ્ટેટને પાંખો ફુટે અને બદનામ હું આખેઆખું નગર થાઉં બોલો?
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
ભરૂચના નેત્રંગ તાલુકામાં રહેતી 11 વર્ષની દીકરી પર તેના ગામના યુવકે તેને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બાળકીની તબિયત લથડતા તેને રાજપીપળા અને બાદમાં સયાજી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં સોમવારે સવારે તેનું મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારે આક્ષેપ કર્યા હતા, કે ઘરે મૂકવાના બહાને ગામનો યુવક દીકરીને બાઈક પર બેસાડીને લઈ ગયો હતો અને તેની સાથે જબરજસ્તી કરી હતી. તો બીજી બાજૂ નેત્રંગ પોલીસે આરોપી યુવકની અટકાયત કરીને બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ભરૂચના નેત્રંગ તાલુકામાં આવેલા રૂપપુરા ગામમાં રહેતા વસાવા પરિવારની માથે સોમવારે સવારે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવારની 11 વર્ષની બાળકીની માતાએ ઘટના બાબતે જણાવ્યું હતું કે, હું ભરૂચ ખાતે કામ કરવા જવું છું. અને મારી 11 વર્ષની દીકરી ઝીલ (નામ બદલ્યું છે) ગામની શાળામાં ભણવા જતી હતી.12મીએ દીકરીની શાળામાંથી ફોન આવ્યો હતો કે, ઝીલને માથુ દુ:ખે છે અને તે રડે છે, તમે લઈ જાવ, જોકે હું કામ પર હોવાને 5 વાગે લઈ જઈશ તેમ જણાવ્યું હતું. યુવક ઝીલને ઘરે પહોંચાડવાને બદલે ગામની નજીકના ખેતરમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જીલને રાજપીપળા સારવાર માટે લઈ ગયા હતા પણ સારવાર ન થતાં તેને સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. સોમવારે સવારે તેનું મોત થયું છે. નેત્રંગ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે નરેશ વસાવાની અટકાયત કરી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. બાળકીના સેમ્પેલ લઈને એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે. દીકરી સાથે દુષ્કર્મ થયું છે, પોલીસે અમને 3 લાખ રૂપિયામાં સમાધાન કરવા માટે કહ્યુંઃ દાદાનો આક્ષેપબાળકીના દાદાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમને જ્યારે જાણ થઈ કે, અમારી દીકરી સાથે આ ઘટના બની છે, ત્યારે અમે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી પોલીસને જાણ કરવામા આવી હતી. અમે પોલીસને કહ્યું હતું કે, અમારી દીકરી સાથે દુષ્કર્મ થયું છે, તે બાદ પોલીસ તે યુવકના પરિવારને બોલાવવામાં આવ્યો હતો અને અમારી સાથે 3 લાખમાં સમાધાન કરવા જણાવ્યું હતું. નેત્રંગ ખાતે બાળકીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાંસયાજી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકી ડાયાબિટીસ અને શ્વાસની બીમારીની તકલીફ સાથે આવી હતી. જેથી તેને બાળ રોગ વિભાગમાં મોકલી દેવામાં આવી હતી. જોકે બાદમાં તબીબો દ્વારા પૂછતા પરિવારે દુષ્કર્મ વિશે અને બાળકીના નેત્રંગ ખાતે સેમ્પલ લેવાયા છે, તેમ જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજપીપળાની હોસ્પિટલમાંથી એસએસજીમાં ખસેડાઈ હતીબાળકીને જ્યારે રાજપીપાળા જીએમઈઆરએસ હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી ત્યારે રીફર ચિઠ્ઠીમાં બાળકીને શ્વાસની અને ડાયાબિટીસની તકલીફ છે તેવું જણાવવામાં આવ્યું હતું. બાળકની જન્મથી આ બન્ને બિમારી છે. બાળકીએ 6 મહિના પહેલા શાળામાં એડમિશન લીધું હતુ, બિમારીના કારણે તે માત્ર 2 મહિના જ શાળાએ જઈ શકી હતી. કાકીને ઘટના વિશે જણાવી કોઈને ન કહેવા કહ્યું હતુંઝીલ સાથે 12મીએ ઘટના બની હતી, જે બાદ તેણે ઘરે આવીને સમગ્ર ઘટના કાકીને જણાવી હતી. ઝીલે કાકીને વિનંતી કરી કે, તે ઘરમાં કોઈને ના કહે. 16મીએ ઝીલની તબિયત લથડી ત્યારે કાકીએ ઘરમાં ઘટના વિશે જણાવ્યું હતું.
પોલીસનો દરોડો:ઈદ્રિસના ઘરમાંથી 3 કિલો નકલી સોનું, 1.62 કરોડની ચિલ્ડ્રન બેંકની નોટો મળી
કર્ણાટકના વેપારી સહિત 13 જણા પાસેથી સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ રૂ.4.92 કરોડ પડાવી લીધા હતા. ટોળકીના 19 સભ્યો સામે જે.પી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર ઈલ્યાસ અજમેરી હજી પોલીસ પકડથી ભાગી રહ્યો છે. ત્યારે તપાસમાં પોલીસે તાંદલજામાં રહેતા ઈલ્યાસ અજમેરીના ભાઈના ઘરે તપાસ કરતા ત્યાંથી 3 કિલો નકલી સોનાના બિસ્કિટ તથા રૂ.1.62 કરોડની નકલી ચલણી નોટો મળી આવી હતી. સામવારે જે.પી રોડ પોલીસ, પીસીબી તથા એસઓજીની ટીમ તાંજલજા ચાંદપાર્ક હાઇટ્સમાં રહેતા ઈલ્યાસ અમજેરીના ભાઈ ઈદ્રિસ અજમેરીના ઘરે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસને ઈદ્રિસના ઘરેથી 50 નંગ નકલી સોનાના બિસ્કિટ લગભગ 3 કિલોના મળી આવ્યા હતા. સાથે જ પોલીસને રૂ.1.62 કરોડની ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી નકલી ચલણી નોટો મળી હતી. આ નકલી સોનું તથા નોટો ઠગાઈ કરવામાં ઉપયોગ કરાતું હોવાનું પોલીસને શંકા ગઈ હતી. પોલીસ દ્વારા ઈદ્રિસની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ઈદ્રિસે કહ્યું હતું કે, આ વસ્તુ ઈલ્યાસ અહીં મુકી ગયો હતો. જોકે હજી સુધી પોલીસને મુખ્ય સુત્રધાર ઈલ્યાસ અજમેરી મળી આવ્યો નહોતો. ફોરેન્સિક વેન તથા નોટ ગણવાનું મશીન પણ સાથે લઈને પોલીસ ઘરે પહોંચી હતીપોલીસ દ્વારા ઈદ્રિસના ઘરે સઘન તપાસ કરવામાં આવી હતી. જ્યાં પોલીસ ફોરેન્સિક વેન તથા નોટો ગણવાના મશીન સાથે પહોંચી હતી. પોલીસ દ્વારા નકલી સોનુ તથા ચલણી નોટોની ગણતરી કર્યા બાદ તેને કબ્જે કરવામાં આવી હતી. ઈલ્યાસ અજમેરી પકડાયા બાદ વધુ વિગતો સામે આવશે તેમ પોલીસે કહ્યું હતું. ઈલ્યાસ અજમેરી સામે અગાઉ પણ સસ્તું સોનું અપાવવાના નામે ઠગાઈના ગુનાસસ્તું સોનું આપવાની આડમાં ઈલ્યાસ અજમેરીએ અગાઉ પણ કર્ણાટક અને દિલ્હીના ડીલરો સાથે છેતરપિંડી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2022માં ઈલ્યાસ અજમેરીને પકડી પાડ્યો હતો. અગાઉ તેને રૂ.72 લાખ ઠગાઈ કરી હતી. ત્યારે તે કેસમાં બહાર આવ્યા બાદ ફરી ઈલ્યાસે ઠગાઈ કરવાનું શરૂ કર્યું હતું.
તાંદલજામાં પત્નીએ પ્રેમી તથા તેના મામા સાથે મળીને પતિની હત્યા કરી હોવાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મહિલાએ દુધમાં પતિને ઉંઘની ગોળીઓ પીવડાવી હતી. ત્યારબાદ પ્રેમીએ આવી પતિનો તકિયા વડે શ્વાસ રૂંધી દીધો હતો, એટલું જ નહીં પત્નીએ પગ પકડી રાખ્યા હતા. જ્યારે પ્રેમીના મામાએ દુપટ્ટા વડે ગળે ટુંપો આપીને પતિનું માથુ જમીન સાથે પછાડી હત્યા કરી હતી. આ મામલે જે.પી રોડ પોલીસે મહિલાની ધરપકડ કરી પ્રેમી અને મામાની શોધખોળ શરૂ કરી હતી. તાંદલજા ગામમાં રહેતા ઈર્શાદ કરીમ બંજારાની શંકાસ્પદ મોત બાદ પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, મોત ગળુ દબાવવાથી અને માથાના ભાગે ઈજા થવાથી થયું છે. બીજી બાજુ પોલીસે ઈર્શાદની પત્ની ગુલબાનુની પૂછપરછ કરતા તેણે જણાવયું હતું કે, તેનો મુંબઈના મોહમદ તોસીફ સાથે પ્રેમ સંબંધ હતો. પોતે તોસીફ સાથે જવા માગતી હતી. તા.18એ તોસીફ અકોટા મીલન હોટલમાં આવ્યો હતો. તે તોસીફને હોટલમાં જઈને મળી હતી,જ્યાં તોસીફે ઉંઘની ગોળી આપી હતી.રાત્રે ઈર્શાદને દુધમાં ઉંઘ ગોળી પીવડાવી હતી. રાત્રે એક વાગે તોસિફ તથા તેના મામા મહેતાબને ઘરે બોલાવ્યા હતા . તોસિફે ઈર્શાદના મોઢું તકિયા વડે દબાવી દીધું હતું. ગુલબાનુએ ઈર્શાદના પગ પકડી રાખ્યા હતા અને મહેતાબે દુપટ્ટો વડે ઈર્શાદને ગળે ટુંપો આપી દીધો હતો.ઈર્શાદનું માથુ જમીન સાથે ભટકાવી તેની હત્યા કરી દેવાઈ હતી. તોસિફ અને મહેતાબ ત્યાંથી જતા રહ્યા હતા.ઈર્શાદની મોતને પત્નીએ પહેલાં હાર્ટ એટેકમાં ખપાવી દીધું હતું. બાળકો સૂઈ ગયા બાદ પ્રેમીનો બોલાવાયો હતોઈર્શાદ અને ગુલબાનુને સંતાનમાં ત્રણ બાળક હતા. હત્યા કરવા માટે ઈર્શાદને ઉંઘની ગોળીઓ પીવડાવામાં આવી હતી. ત્યારે બાળકો સુઈ જાય તેની રાહ જોયા બાદ ગુલબાનુએ તેના પ્રેમીને ફોન કરી ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ ચુપ-ચાપ વધુ અવાજ ન થાય તેમ ત્રણ જણાએ મળીને ઈર્શાદની હત્યા કરી હતી. જનાજો નીકળ્યાની 10 મિનિટમાં ગુલબાનુએ પ્રેમીને ફોન કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતોગુલબાનુએ હત્યા બાદ બિન્દાસથી રહેતી હતી. તેના ચહેરા પર કોઈ ગમ નહોતો. તેમજ તેના હાવ-ભાવ પણ બદલાયેલા પરિવારજનોને દેખાતા નહોતા. તે સતત ફોન પર વાતચીત કર્યા કરતી હતી. જેને લઈ પરિવારે શંકા આધારે ગુલબાનુનો ફોન તપાસ કરતા તેમાં ઈર્શાદનો જનાજો નીકળ્યા બાદ 10 મિનિટ પછી જ તે એક નંબર પર સતત સંપર્કમાં રહી હોવાનું જણાયું હતું. દફનવિધીના ચોથા દિવસે ગુલબાનુના માતા-પિતા આવ્યા હતા. ત્યારે પરિવારે ગુલબાનુની પૂછપરછ કરતા તેને કબુલાત કરતી ન હોતી. જોકે પરિવારે લાલચ તથા પોલીસ ફરિયાદની ધમકી આપતા તેને હત્યાની કબુલાત કરી લીધી હતી. જોકે ત્યારબાદ આ સમગ્ર મામલે સાચી હકીકત સામે આવી હતી. ગુલબાનુને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશેપોલીસે ગુલબાનુની ધરપકડ કરી છે. બીજા બે આરોપીની શોધખોળ શરૂ કરી છે. મંગળવારે વધુ તપાસ માટે ગુલબાનુને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે. > નિલેશ સુહાગિયા, પીઆઈ, જે.પી રોડ પોલીસ સ્ટેશન.
જુગારનો 'આશિયાનો':વારસિયાના બંગલામાંં જુગાર રમતી 15 મહિલા પકડાઈ, ઘર માલિકે કહ્યું, મને રમવાનો શોખ છે
વારસીયાના બંગલોમાં જુગાર રમતી 15 મહિલાને વારસીયા પોલીસે પકડી પાડી હતી. મહિલાએ ઘરમાં જુગારધામ બનાવ્યું હતું. તે કહેતી હતી કે, મને જુગાર રમવાનો શોખ છે, જેને લઈ મહિલા જુગાર રમવા બહારથી અન્ય મહિલા મિત્રોને બોલાવતી હતી. વારસીયા પોલીસે દરોડા પાડીને તીન પત્તી જુગાર રમતી 15 મહિલાને પકડી પાડી હતી અને સ્થળ પરથી 1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વારસીયા પોલીસને બાતમી મળી હતી કે, વારસીયા જુના આરટીઓ પાસે બંગ્લોમાં રહેતી નિકીના મકાનમાં જુગાર ચાલી રહ્યો છે. જેના આધારે પોલીસની ટીમ બાતમી મુજબના સ્થળે પહોંચી હતી. પોલીસે બંગ્લો પર પહોંચીને બેલ મારતા મહિલા આવીને દરવાજો ખોલ્યો હતો. પોલીસે તાત્કાલિક બંગ્લાની તપાસ શરૂ કરી હતી. મહિલાઓ પહેલાં માળે બેડરૂમમાં ગોળ કુંડાળુ વાળીને તીન પત્તીનો જુગાર રમતી હતી. પોલીસે સ્થળ પરથી 15 મહિલાને પકડી પાડી હતી અને તેમની સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે રૂ.11 હજાર જમીન દાવના, તથા અંગ ઝડતી બાદ રૂ.15 હજાર મળીને કુલ રૂ.27 હજાર રોકડા કબ્જે કર્યા હતા. સાથે પોલીસે 13 ફોન મળીને રૂ.1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંગલોની બહાર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, પતિ વિદેશ છેમહિલા પોલીસ સિવિલ કપડામાં બંગ્લો પર પહોંચી હતી અને તપાસ કરી 15 મહિલાને જુગાર રમતા પકડી પાડી હતી. પોલીસે તપાસ કરતા મહિલાનો પતિ વિદેશ રહે છે. આ દમિયાન મહિલાના સંતાન ઘરે હાજર ન હતા, મહિલાને તેના સંતાન જુગાર રમવાનો ઈન્કાર કરતા હતા. પરંતુ તેમને રમવાનું ચાલુ રાખ્યું હતું. બાતમી મળતાં ટીમે સ્થળ પર જઈને મહિલાઓને પકડી પાડીપોલીસને બાતમી મળી હતી. જેના આધારે અમારી ટીમે સ્થળ પર જઈને જુગાર રમતી મહિલાઓને પકડી પાડી હતી. > એસ.એમ.વસાવા, પીઆઈ, વારસીયા પોલીસ સ્ટેશન. મહિલા પોલીસ બંગલા ફરતે ગોઠવાઈ ગઈ, બેડરૂમમાં મહિલાઓ બેડ, ટેબલ પર કુંડાળું વળીને જુગાર રમતીવારસીયા પોલીસને મહિના પહેલાં જાણ મળ્યું હતું કે, નિકીબેન મહિલાઓને એકત્ર કરી જુગાર રમે છે. જોકે વધુ મજબુત માહિતી ન મળતા તે સમયે દરોડા પડાયો નહોતો. ત્યારે રવિવારે ચોક્કસ બાતમી મળતા પોલીસે દરોડો પાડી દીધી હતી. મહિલાએ પોલીસને ચોખુ કહ્યું હતું કે, મને રમવાનો શોખ છે એટલે અન્ય મહિલાને ભેગી કરૂ છું. પોલીસ ઘરમાં પ્રવેશી અને તમામ રૂમો તપાસતા પહેલાં માળે બેડરૂમમાં મહિલાઓ બેડ પર તથા ટેબલ રાખીને ગોળ કુંડાળુ વળીને જુગાર રમતી હતી. પોલીસને જોતા તમામ ચોંકી ગઈ હતી.
હિંદ મહાસાગરમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી પૂર્વથી ભેજયુક્ત પવન આવતાં વડોદરામાં પણ ભેજ વધી રહ્યો છે. આ કારણે નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં પારો 20 ડિગ્રી પહોંચી જાય તેવી સંભાવના છે. ત્યારબાદ ડિસેમ્બરમાં ઠંડી વધવાની સંભાવના છે. ચક્રવાતી સિસ્ટમથી વડોદરા સહિત રાજ્યમાં કોઈ અસર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. કારણ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, જેની અસર આગામી સમયમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. જે બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. સોમવારે મહત્તમ પારો 31.1 ડિગ્રી અને લઘુતમ પારો 18 ડિગ્રી નોંધાયો હતો. ભેજ સવારે 83 ટકા અને સાંજે 61 ટકા નોંધાયો હતો. જ્યારે નોર્થ-વેસ્ટની દિશાથી 3 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. હિંદ મહાસાગરમાં એક સાથે 3 સિસ્ટમ સર્જાઈઅરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન, શ્રીલંકા પાસે લોપ્રેશર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. આમ હિંદ મહાસાગરમાં 3 સિસ્ટમ સર્જાઈ છે. પૂર્વ દિશા તરફથી આવતા ભેજયુક્ત પવનોને કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી
કામગીરી:ગોત્રી નિલાંબર સર્કલ રોડ પર 150 ફૂટની 2 કમ્પાઉન્ડની દીવાલ તોડાઈ
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ 11ની કચેરી પાસેથી નિલાંબર સર્કલ સુધીના રોડ પર 150 ફૂટની 2 કમ્પાઉન્ડ વોલનાં દબાણો તોડાયાં હતાં. રોડ મોટો કરવાની કામગીરીમાં અવરોધ રૂપ દીવાલ તોડી રસ્તો ખોલવામાં આવ્યો હતો. ટીપી રોડમાં આવતા વોર્ડ 11ની ઓફિસથી લાલગુરુ સર્કલ સુધીમાં રોડની ડાબી બાજુ મંગલમ હોસ્પિટલ સામે ટીપી 16ની તેમજ ટીપી-17માં લક્ષ્મીનારાયણ કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ દબાણ શાખાએ દૂર કરી હતી. એક ખાનગી જગ્યા અને લક્ષ્મીનારાયણ કોમ્પ્લેક્સને દીવાલ તોડવા નોટિસ અપાયા છતાં હટાવી નહોતી. આખરે પાલિકાની ટીમોએ સોમવારે જેસીબી સાથે પહોંચી જઇને દીવાલ તોડી પાડીને રસ્તો ખુલ્લો કર્યો હતો. આ રોડને મોટો કરવાની કામગીરી હાથ ધરાશે.
અમદાવાદ પાસિંગ એક આઈસર ટેમ્પોનાં 87 ટ્રાફિક ઈ-ચલણ ભરવાનાં બાકી હતાં, જેની રકમ 2.57 લાખ રૂપિયા થતી હતી. આ આઈસરને પોલીસે સરદાર એસ્ટેટ પાસે રોજિંદી કામગીરી દરમિયાન રોક્યો ત્યારે બાકી ચલણ વિશે જાણ થઈ હતી. જેથી પોલીસે આઈસરના માલિકને મેમાની રકમ ભરવા જણાવ્યું હતું. જોકે આઈસર માલિકે દંડની રકમ ન ભરતાં પોલીસે આઈસર જપ્ત કર્યો હતો. આખા વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ વાહનચાલકોને આપવામાં આવેલા 5 લાખની વધારે ઈ-ચલણ હાલમાં બાકી છે, જેની રકમ કરોડોમાં છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો પાસેથી ટ્રાફિક પોલીસ ઈ-મેમો દ્વારા દંડની રકમ વસૂલતી હોય છે. ઘણા કિસ્સાઓમાં એવું સામે આવે છે કે, વાહનો પર ઘણા મેમો બાકી હોય છે. દરમિયાન ટ્રાફિક પોલીસે એક આઈસર ટેમ્પોને જપ્ત કર્યો હતો. તેના અનેક ઈ-મેમો બાકી હતા અને દંડની રકમ લાખો રૂપિયામાં હતી. ટ્રાફિક પોલીસ સરદાર એસ્ટેટ પાસે રોજિંદી કામગીરીમાં ફરજ પર હતી ત્યારે અમદાવાદ એક પાસિંગની આઈસર ટેમ્પો રોકવામાં આવ્યો હતો. આઈસરની તપાસ કરતાં તેનાં 87 ઈ-ચલણ બાકી હતી, જેની રકમ 2.57 લાખ હતી. આ જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે ડ્રાઈવર પાસેથી આઈસર માલિક રામસિંગ પુરોહિતનો સંપર્ક કરીને આઈસરને ડિટેઈન કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી અવાર-નવાર કરવામાં આવતી રહેતી હોય છે. ટ્રાફિક પોલીસ નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે ડ્રાઇવ યોજી કાયદેસરની કાર્યવાહી કરે છે. જે હેઠળ શહેરમાં ચાલતા ગેરકાયદે ભારધારી વાહનોની સામે પણ કાર્યવાહી કરીને દંડની વસૂલાત સહિત વાહન જપ્ત પણ કરાય છે. આઈસર માલિકે જણાવ્યું કે, હાલમાં મારી પાસે પૈસાની કોઈ વ્યવસ્થા નથી, ટુકડે-ટુકડે ભરીશપોલીસે આઈસરના બાકી મેમા વિશે તપાસ કરી ત્યારે તેના 2.57 લાખ રૂપિયાના મેમો પેન્ડિંગ હતા. જેથી પોલીસે તેના માલિકનો સંપર્ક કર્યો હતો. મોટી રકમ હોવાને કારણે માલિકે પોલીસને જણાવ્યું હતું કે, ચલણના દંડની રકમ ટુકડે-ટુકડે ભરીશ. જેથી પોલીસે આઈસર ટેમ્પો જપ્ત કર્યો હતો.
પાણી કાપ:આજથી 3 દિવસ પાણીકાપ,પાણીગેટ સહિતના વિસ્તારના રહીશો અટવાશે
નિમેટાથી આજવા તરફ બનાવેલી પાણીની લાઈનનું આજવાના મેનિફોલ્ડ સાથે જોડાણ કરાશે. જેને પગલે આજથી 3 દિવસ એટલે 27મી સુધી આજવાથી 6 ટાંકી, 7 બુસ્ટરને પાણી નહીં મળે, જેથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 5 લાખ લોકોને પાણી વિના હાલાકી થશે. જોકે કામગીરી બાદ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 2 એમએલડીની પાણીની ઘટ પૂરી થશે. આજવાથી નિમેટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સુધી 750 મિમી ડાયાને બદલી 1524 મિમી લાઈન બેસાડવાનું પૂર્ણ કરાયું છે. નિમેટા પ્લાન્ટ-2માં આજવાથી આવતી લાઇનનું જોડાણ કરાશે. આ કામગીરી પૂરી થયા બાદ દરેક ટાંકી દીઠ 2 એમએલડી પાણીનો વધારો થશે. લાઇનનું આજવાના મેનિફોલ્ડ સાથે જોડાણ કરાશે, જેથી 25મી, 26મી અને 27મી નવેમ્બેર પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી નહીં મળે. ખાસ કરીને આજવાથી પૂર્વ વિસ્તારમાં આવેલી ટાંકીઓને સૌથી વધુ અસર થશે. સાથે સંખેડા દશાલાડ, મહેશનગર, સોમા તળાવ, દંતેશ્વર, મહાનગર તથા નંદધામ બુસ્ટરને પણ અસર થશે. પાણીનાં માત્ર 40 ટેન્કરો છે, પાણીની વ્યવસ્થા કરવા માટે ઉત્તર ઝોનની ટાંકી પર આવવું પડશેપાલિકા પાસે પાણીનાં 40 ટેન્કર છે, જેનાથી પૂર્વ વિસ્તારોની સોસાયટીઓમાં પાણી પહોંચાડવું શક્ય નથી. રોજ 40 થી 50 ફેરા માર્યા બાદ પણ પાણી પહોંચાડી શકાશે નહિ. પૂર્વ વિસ્તારની ટાંકીઓમાં પાણી નહિ હોય, જેથી ટેન્કરોએ ઉત્તર ઝોનની ટાંકી પર જવું પડશે. જેથી ઉત્તરની ટાંકીઓમાં ઘટની શક્યતા છે.
ખાસ કેમ્પ યોજાશે:1 લાખ મતદારનાં ફોર્મ પરત ન મળ્યાં, એકથી વધુ નામ-શિફ્ટ થયાની શક્યતા
એસઆઈઆરની કામગીરીમાં કલેક્ટર તંત્રને 26.89 લાખ મતદારોમાંથી 1 લાખનાં ફોર્મ પરત મળ્યાં નથી. જેમાં આ મતદારો કાયમી અન્ય સરનામે શિફ્ટ થઈ ગયા હોય, મરણ થયું હોય કે એકથી વધુ સ્થળે નામ હોય તેમનો સમાવેશ થતો હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સુહાની કેલૈયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, આ પહેલાં આખી સોસાયટીમાંથી લોકો સ્થળાંતરિત થયા હોય કે પછી રિડેવલપમેન્ટ ચાલતું હોય તેવા 106 વિસ્તારોની 117 જેટલી સોસાયટીના મતદારો માટે મતદાર સેવા કેમ્પનું આયોજન કરાયું હતું. 2002 અને 2025ની યાદી મુજબ જે મતદારોનાં નામ હોય તેમના ફોટો સાથેનાં ફોર્મ મતદારોને મળી રહ્યાં છે. જોકે ઘણા કિસ્સામાં એકથી વધુ સ્થળે નામ હોય કે અન્ય સરનામે કાયમી શિફ્ટ થયા હોય તેવા મતદારોનાં ફોર્મ હજુ પરત ન આવ્યાં હોવાના કિસ્સા તંત્રના ધ્યાને આવ્યા છે. જેમાં કલેક્ટર તંત્ર દ્વારા ફોર્મ કલેક્શન માટે મતદાન મથકો પર દર શનિ-રવિના રોજ ખાસ કેમ્પનાં આયોજનો પણ કરવામાં આવી રહ્યાં છે. મોબાઈલમાં ઓટીપી જ ન આવતાં ફોર્મ અપલોડ કરવાનું કામ અટક્યુંશહેર-જિલ્લામાં 2576 બીએલઓ એસઆઈઆરનું કામ કરી રહ્યા છે. તેવામાં મતદારોનાં ફોર્મ ભરીને ઓનલાઈન અપલોડ કરવા સહિતની કામગીરી માટે બીએલઓ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. સોમવારના રોજ ઓનલાઈન કામગીરી દરમિયાન મોબાઈલમાં ઓટીપી જ ન આવતા બીએલઓની કામગીરી અટકી પડી હતી. અકોટા સ્ટેડિયમની નજીક ફેસિલેશન સેન્ટર શરૂ કરાયું, 250 કર્મી ફાળવાયામતદારો પાસેથી મળેલા ફોર્મના ડિજિટાઇઝેશનમાં ઝડપ લાવવા જિલ્લા ચૂંટણી તંત્રે અકોટા સ્ટેડિયમ પાસે કેળવણી ટ્રસ્ટ શાળા સંકુલમાં ફેસિલેશન સેન્ટર શરૂ કર્યું છે. ફોર્મના મેપિંગ સહિતની કામગીરીમાં બૂથ લેવલ ઓફિસરને મદદ માટે શહેરની 5 વિધાનસભા માટે અકોટા સ્ટેડિયમ પાસે ફેસિલેશન સેન્ટર શરૂ કર્યું હતું. જે માટે વધારાના 250 કર્મી ફાળવાયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા વાહનોનાં ફિટનેસ સર્ટિફિકેટ ઈસ્યૂ કરવાની ફીમાં જંગી વધારો કરાયો છે. અગાઉ ગમે તેટલા વર્ષ જૂનું વાહન હોય, પણ એક પ્રકારની ફી લેવાતી હતી. હવે 10 થી 15 વર્ષ અને 15 થી 20 વર્ષ એમ બે કેટેગરી પડાઈ છે. 17 નવેમ્બરથી આ ભાવ વધારો અમલી થતાં હેવી વ્હીકલના ફિટનેસનો ચાર્જ ₹28,000 સુધી થયો છે. વડોદરામાં રોજનાં અંદાજે 150 જેટલાં વાહનોનું ફિટનેસ કરાતું હોય છે. 20 વર્ષ જૂનું હેવી વ્હીકલ હોય તો ફિટનેસ સર્ટિફિકેટની ફી 25 હજાર અને ટેસ્ટ ફી 3 હજાર મળી 28 હજાર ચૂકવવાના રહેશે. જ્યારે ફોર વ્હીલર પર રૂા.200 તેમજ 15 વર્ષ જૂનાં વાહનની ફિટનેસ ફીમાં 1 હજારનો વધારો કરાયો છે, જેથી 15 વર્ષ જૂની કારની ફિટનેસ ફી 1500 ચૂકવવી પડશે. 1 મહિના પૂર્વે ગુજરાતમાં વાહનોના ફિટનેસ પર જીએસટી અમલી કરાતાં વાહન માલિકોને બે ભાવ વધારાનો માર સહન કરવો પડશે. હવે ફિટનેસ માટે ખાનગી ફિટનેસ સેન્ટરો પર કામ થઈ રહ્યું છે ત્યારે ભાવ વધારા પર નિયંત્રણ છે કે નહીં તે પણ આરટીઓ દ્વારા જાણી શકાતું નથી. અગાઉ ગુજરાત સિવાયનાં રાજ્યમાં જીએસટી લેવાતો હતોઅગાઉ ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યમાં વાહનોના ફિટનેસની સર્વિસ પર જીએસટી લેવાતો હતો. જોકે ગત મહિનાથી 18 ટકા જીએસટી અમલી કરવામાં આવ્યો છે, જેને પગલે નાગરિકો પર વાહનોની ફિટનેસ ફી પર વધારાનો ભાર પડ્યો હતો. ભાવ વધારાની રકમ કેન્દ્ર સરકારને જશે, સેન્ટરને તેનો કોઈ લાભ નહીંકેન્દ્ર સરકારે ટેસ્ટિંગ ફીમાં વધારો કર્યો નથી. માત્ર ફિટનેસ ફી વધારી છે. આ રકમ કેન્દ્ર સરકારને જાય છે. સેન્ટરને લાભ નહીં થાય. > કૈલાસ ભાટી, ફિટનેસ સેન્ટર, એમડી મોટર્સ વર્ષો જૂનાં વાહનો લોકો સ્ક્રેપમાં આપે તે માટે પોલિસી હોઈ શકેફિટનેસ સેન્ટર પ્રાઇવેટ છે. આરટીઓનો આમાં હસ્તક્ષેપ નથી. લોકો જૂનાં વાહનો સ્ક્રેપમાં આપે તે માટે કદાચ સરકારની આ પોલિસી હોઈ શકે. > જે.કે. પટેલ, આરટીઓ
શહેરમાં વૃક્ષારોપણ મુદ્દે સામાજિક સંસ્થાને આપેલા કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયાના મુદ્દે પાલિકાની સભામાં હોબાળો થયો હતો. પ્લાન્ટેશન માટે 3300 કિંમત નક્કી કર્યા બાદ ભાવ 2 હજાર કરી, પછી સ્થાયીએ 1500 નક્કી કર્યા હતા. પછી ફરી 2 હજાર રૂપિયે ઇજારો આપવા મુદ્દે વિપક્ષે સત્તાધારી પક્ષ સામે આક્ષેપો કર્યા હતા. પાલિકામાં સોમવારે સભામાં વિપક્ષનાં કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ કહ્યું કે, 2024માં માનવ સેવા ટ્રસ્ટને 3300માં ઇજારો આપવાનું નક્કી કર્યા બાદ કમિશનરે વાટાઘાટો કરી ભાવ 2 હજાર કર્યો હતો. બાદમાં સ્થાયીએ તેમાં રૂા.500 ઘટાડો કર્યો. પછી અચાનક કયું જ્ઞાન લાદ્યું કે, કમિશનરે નક્કી કરેલા ભાવ પ્રમાણે સંસ્થાને 2 હજાર આપવાનું નક્કી કર્યું. જ્યારે વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે સ્થાયીને ભાવ ઓછો કરાવાની સત્તા નથી, કહી વિરોધ કર્યો હતો. જેથી પક્ષના નેતા મનોજ પટેલે સંસ્થાના હિતમાં નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું. કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું કે, વિશ્વામિત્રીમાં 10-12 ફૂટ પાણીમાં છોડ વહી ગયા છે. ઇજારો ભ્રષ્ટાચાર માટે કરાયો હોવાનું કહેતાં હોબાળો થયો હતો. સ્થાયી ચેરમેને કહ્યું કે, પુરાવા લાવો, ખોટા આક્ષેપો ન કરો. આશિષ જોશીએ સ્મશાનના મુદ્દે લાશો પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. રૂા.2 હજારનો એક છોડની જાળવણીનો ઇજારો. કોના બાપની દિવાળી, કોર્પોરેશનને જેને લૂંટવું હોય તે લૂટી જાય છે. > પુષ્પા વાઘેલા, કાઉન્સિલર ભ્રષ્ટાચારના આ પ્રકારના ખોટા આરોપો ન કરો. પુરાવા લાવો. સંસ્થા સારું કામ કરી રહી છે, તમે જઇને જોઇ આવો.> ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતિ 5 કરોડના કામ માટે અત્યાર સુધી 1.29 કરોડ ચૂકવી દેવાયાકાઉન્સિલર પુષ્પા વાઘેલાએ કહ્યું કે, 3 વર્ષમાં 25 હજાર છોડ માટે ઇજારો આપ્યો છે, જેમાં 5 કરોડ સામે 1.29 કરોડ ચૂકવી દીધા છે. સમા સાઇકલ ટ્રેકની કામગીરીમાં પીજરાં તોડી નખાયાં છે. સંસ્થાએ પીંજરાં પર જાહેરાત કરી છે. પાલિકામાંથી ફાઇલ કેવી રીતે ગુમ થઇ, અધિકારી સામે પગલાં લોકાઉન્સિલર અમી રાવતે કહ્યું કે, બધી ફાઇલ ટ્રેક થાય છે ત્યારે અતાપીની કેવી રીતે ગુમ થઇ. અધિકારી સામે પગલાં લો. બીજી તરફ ચંદ્રકાન્ત ભથ્થુએ જણાવ્યું કે, 20 હજાર ઝાડ કાપવાનાં છે. જેથી ચેરમેને કહ્યું કે,તેની સામે 1 લાખ ઉગાડીશું. સભામાં પુષ્પા વાઘેલાની ચીમકી, ભૂખી કાંસનું કામ નહિ થવા દેવાયપુષ્પા વાઘેલાએ કહ્યું, ભૂખી કાંસનું કામ નહિ થવા દેવાય, સ્થાયી ચેરમેને વળતો જવાબ તમે ધમકી આપો છો કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ નવાયાર્ડ વિસ્તારમાં ભૂખી કાંસની કામગીરી સંદર્ભે સભામાં કહ્યું હતું કે, તમે આ વિસ્તારને ડૂબાડવા માગો છો, અમે આ કામ નહિ થવા દઇએ. જેને પગલે સ્થાયી ચેરમેન ડો.શીતલ મીસ્ત્રીએ કહ્યું કે, તમે ધમકી આપો છો. સરકારી કામમાં રૂકાવટ કરશો તો પગલાં લેવાશે. જેને પગલે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે ચડભડ થઇ હતી. 50-60 વર્ષ જૂની પાણીની લાઇનોના નેટવર્કમાં સુધારાની પ્રક્રિયા ચાલુ છેસભામાં ગંદા પાણી અને પ્રેશરથી પાણી આવતું ન હોવાનો મુદ્દો પણ ઉછળ્યો હતો. કોંગ્રેસના વોર્ડ 13ના કાઉન્સિલર બાળુ સુર્વેએ રજૂઆત કરી કે, મારા વોર્ડમાં ગંદું પાણી આવે છે. વારંવાર રજૂઆતો છતાં ઉકેલ આવી રહ્યો નથી. જેથી મ્યુ. કમિશનર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે, પાણીની લાઇનના નેટવર્કમાં સુધારો કરવાની પ્રક્રિયા ચાલુ છે. સંખ્યાબંધ જગ્યાએ 50-60 વર્ષ જૂની લાઇનો છે, જેને તબક્કાવાર બદલાશે. સમસ્યા ઉકેલવા કોર્પોરેશન પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારમાં શહેર માટે પાણીનો નવો સ્ત્રોત ઊભો કરવાની દરખાસ્ત કરાઈ છે. જેને મંજૂરી મળતાં નવો સ્ત્રોત ઊભો થશે. આ ઉપરાંત કાઉન્સિલરે આક્ષેપો કર્યા હતા કે, ઘણી સોસાયટીઓમાં પાણીની લાઇનો કાપી નાખવામાં આવી છે. જેથી ટેન્કરો મોકલવાનો વારો આવી રહ્યો છે. જે સોસાયટીમાં બોરની સુવિધા છે ત્યાં તકલીફ નથી. મ્યુ. કમિશનરે પાણીની સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે તેમ જણાવ્યું હતું.
ભાસ્કર એક્સક્લૂસિવ:કોઇએ ગામમાં ઢોલ પીટ્યા, કોઇએ વિગતો ફરીને જ ફોર્મ આપ્યા
સેતુગીરી ગોસ્વામી સુરેન્દ્રનગર જિલ્લામાં 1518 બીએલઓ દ્વારા 14.80 લાખથી વધુ મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ ભરાયા હતા. જે કામગીરી હવે પૂર્ણતાના આરે છે. ત્યારે જિલ્લામાં 20થી વધુ બીએલઓ એવા છે કે, જેમની ફોર્મની કામગીરી 100% પૂર્ણ થઈ છે. જેઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં એસ.આઈ.આર એટલે કે મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવાનું કામ અંતિમ તબક્કામાં છે ત્યારે તંત્ર દ્વારા બીએલઓ સહાયકો ફાળવતા અને ઓનલાઈન કામગીરી માટે કોમ્પ્યુટર ઓપરેટરની મદદ અપાયા બાદ જિલ્લાની કામગીરીમાં ગતિ આવી છે. ઓન ડ્યુટી લીવ અપાતા શિક્ષકોએ પણ ફોર્મ વિતરણ અને એકત્રીકરણ માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. 20થી વધુ બીએલઓ 100 ટકા તો બાકીના ઘણા 80થી 90 ટકા કામગીરી પૂર્ણ કરી ચુક્યા છે. જેમાંથી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના બીએલઓ છે જ્યારે શહેરી વિસ્તારોમાં ઘણા બીએલઓ મતદાતાઓના નામ અને સરનામાં શોધવા મથામણ કરી રહ્યા છે. 1 : ઢોલ વગાડી મતદારોને જાગૃત કર્યા મોટા મઢાદ ગામમાં મતદારોને ફોર્મ વિતરણ કર્યા બાદ મે લોકજાગૃતિ માટે ઢોલ વગડાવી સમયસર ફોર્મ પરત કરવા જાણ કરી હતી. જેથી 50 ટકા ફોર્મ શંકરના મંદિરે જમાં કરાવી ગયા હતા. બાકીના પણ મે એકઠા કરી દીધા. 2. પહેલા કાર્બન કોપી કરી 2 ફોર્મ બનાવ્યા મે રામપરા ગામમાં અલગ રીત અપનાવી. પહેલા કાર્બન કોપી કરી 2 ફોર્મ બનાવ્યા અને નીચેની વિગતો ભરીને પછી જ ફોર્મ આપ્યા હતા. જેથી મતદારોને માત્ર આધાર નંબર જન્મ તારીખ અને માતા પિતાના નામ જ લખવાના રહે. પુત્રવધુઓના પિયરના બી.એલ.ઓના નંબર મંગાવી જાતે જ એમના વિભાગ શોધી લીધા હતા. > સંજયભાઈ સતાપરા, બીએલઓ 3. ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે અને મોડી રાત્રે કામ કર્યુંદરેક વિસ્તારના મતદારોના ટાઇમ ટેબલ અલગ હોય છે. વસ્તડી ગામમાં ખેડૂત મતદારો આખો દિવસ ઘરે ના હોય તેથી વહેલા સવારે એમના જવા પહેલા અને સાંજે તેઓ આવે ત્યાર બાદ રાત સુધી મે ફોર્મ ભર્યા અને વધુમાં વધુ કામગીરી કરી. > નીરવભાઈ સતાણી, બીએલઓ ભાસ્કર ઈનસાઈડ ભાસ્કર નોલેજ 1 બુથમાં 1 BLOના નિયમથી ગતિ ઓછી એક બુથમાં એક બી.એલ.ઓ.ના નિયમ લીધે ગ્રામ્ય વિસ્તારમાં એક બી.એલ.ઓ.ને 400 થી 500 મતદારો હોય તો શહેરી વિસ્તારમા એક બી.એલ.ઓ ને 1400 થી 1500 મતદારો હોય. શહેરી વિસ્તારમાં 2002ની યાદીમાં પુરા સરનામાં નથી. ગ્રામ્યમાં બીએલઓને 500 મીટર ત્રીજ્યામા જ શોધવાનું હોય છે. શહેરોમા ચાલવાનું 3થી 4 ગણું થાય છે. 9 ડિસેમ્બરે યાદીનો કાચો ડ્રાફ્ટ જાહેર થશે એસ.આઈ.આર.ના સાત તબક્કા ઼માંથી આ હજી ત્રીજો તબક્કો છે. હવે 9 ડિસેમ્બરે મતદાર યાદીનો કાચો ડ્રાફ્ટ જાહેર થશે. જે મતદારો સ્થળાંતરિત થયા છે તેમના 5 પાડોસીની સહી લઈ રોજકામ કરવાનું અને 2002 પછી અવસાન પામેલના મૃત્યુ પ્રમાણપત્ર એકઠા કરવાના રહેશે. 2002 બાદ લગ્ન થયેલા હોય તે પુત્રવઘુના પિયરની 2002 ની એસ.આઈ.આર ની વિગત લાવવાની અને જો ના મળે તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર લાવવાનું રહેશે.
આરોપીને સજા ફટકારાઈ:સુરેન્દ્રનગર કોર્ટે દુષ્કર્મના ગુનાના આરોપીને 10 વર્ષની કેદ ફટકારી
ચોટીલા ગ્રામ્ય વિસ્તારની સગીરાને રાજકોટનો વાકવડ ગામનો ભગાડી ગયો હતો. જેની સગીરાને ભગાડી જઇ દુષ્કર્મની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આરોપીને ઝડપી પડાયા હતા. તેમની સામે સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને 10 વર્ષ કેદની સજા કરાઇ હતી. થાન પોલીસ મથકે વર્ષ 2018માં સગીરાને ભગાડી ગયા અંગે ગુનો નોંધાયો હતો. જેમાં ચોટીલાના ગ્રામ્ય વિસ્તારનો પરીવાર રાણપુર પાટીયા વાંકાનેર રોડ પર ચા વેચવાનું કામ કરતો ગુજરાન ચલાવતો હતો. તેમની 14 વર્ષ 10 માસની સગીરા દીકરીને રાજકોટ વાકવડ ગામનો રહીશ વલકુભાઇ શામજીભાઇ ડાભી જે અવારનવાર ચા પીવા આવતો તેથી સગીરા સાથે વાતો કરતા પ્રેમ સબંધ બાંધી સગીરાને લાલચ આપી લગ્ન કરવા દીકરીના વાલીઓ પાસેથી તેમની સંમતી વગર અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો. જેમાં જુદી જુદી જગ્યાએ લઇ જઇ અને સગીર હોવાનું જાણતો હોવા છતા આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બનાવ અંગે થાન પોલીસ મથકે સગીરાના પિતાએ આરોપી વલકુભાઇ ડાભી નોંધાયો હતો. જેનો કેસ સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પી.જી. રાવલની દલીલ, મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ સ્પેશિયલ પોક્સો જજ એન.જી. શાહે આરોપી વલકુભાઇ શામજીભાઇ ડાભીને 10 વર્ષની સખત કેદની સજા કરી હતી. જ્યારે રૂ. 10,000નો દંડનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.
કાર્યવાહી:હોસ્પિટલની છબી બગાડનાર કોન્ટ્રાક્ટ બેઝ બંને કર્મીને ફરજ મુક્ત કરાયા
સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેજ પર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીને છૂટા કરાતા રસોઇનું કામ સોંપી ત્રાસ આપી નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે આ કર્મચારી ઓફિસમાં આવી ગેરવર્તુણક કરી ધમકીઓ આપતા હોવાનું હોસ્પિટલ તંત્રે જણાવતા મહિલા સફાઇ કામદાર અને તંત્ર આમને સામને હોય તેવો ઘાટ સર્જાયો હતો. બીજી તરફ પટ્ટાવાળાઓ પાસેથી અધિકારીઓ પૈસા લેતા હોવાનું હોસ્પિટલના જ એક કર્મીએ વીડિયોમાં જણાવતા ચકચાર ફેલાઇ હતી. ત્યારે આ અંગેના અહેવાલના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા. ત્યારે આ મામલે થોડા દિવસ પહેલા ગાંધીનગરથી રીજ્યોનલ ડેપ્યુટી ડાયરેક્ટર (આરડીડી)ની ટીમ આવી હતી. જેમાં છૂટા કરાયેલ મહિલા સફાઇ કર્મચારી, વીડિયોમાં બોલનાર કર્મચારી તેમજ હોસ્પિટલ અધિકારીઓના નિવેદનો લેવામાં હતા. તેમજ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની છબી બગાડનાર કોઇ પણ વ્યક્તિ સામે પગલા લેવાની તાકીદ કરાઇ હતી. ત્યારે સમગ્ર મામલાનો ગાંધીનગરથી તૈયાર આવનાર રિપોર્ટ પર સૌની નજર હતી. ત્યારે આ બાબતે મહિલા સફાઇ કામદારને છૂટા કરાયા હતા. ત્યારબાદ ગાંધીનગરથી થયેલા આદેશ મુજબ આઉટસોર્સ વર્ગ -4ના ભરતભાઈ મારૂડાને મીડિયામાં સંસ્થાના વડા તથા સંસ્થાને બદનામ કરવાના બદ ઇરાદાથી તેમજ સોશિયલ મીડિયામાં ફોટો-વીડિયો વાયરલ કરવા, સંસ્થા વિરૂદ્ધની કામગીરી વગેરે બાબતને લઇને હોસ્પિટલ ખાતેની સેવાઓ તાત્કાલિક સમાપ્ત કરી એજન્સીને પરત કરવા આદેશ કરાયો હતો. આ અંગે સીડીએમઓ ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે, ઉચ્ચકક્ષાએથી થયેલા આદેશ મુજબ કાર્યવાહી કરાઇ છે.
ભાસ્કર ઈનસાઈડ:શહેરના પહોળા રોડને આઇકોનિક બનાવી ફૂટપાથ કરવાથી ટ્રાફિક સમસ્યા વધવા સાથે દબાણ ઉભાં થશે
મહેસાણામાં વિસનગર રોડ પર યુજીવીસીએલ કચેરી આગળ ત્રણ લેનના વિશાળ ઉપયોગી રોડને આઇકોનિક બનાવવાના નામે 50 ટકા જેટલો ભાગ ફૂટપાથમાં ફેરવી દેવાયો છે. જેને લઇ શહેરીજનો માટે ટ્રાફિક સહિતની નવી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભીએ જણાવ્યું કે, દેશના તમામ શહેરોમાં વધતી ટ્રાફિકની સમસ્યાઓને જોતાં રોડને વધારે પહોળા કરવા દબાણો દૂર કરવામાં આવે છે. જ્યારે મહેસાણા શહેરમાં રોડ પહોળો કરવાની જગ્યાએ ઘટાડો કરાઇ રહ્યો છે. આ પ્રકારની ઉલ્ટી ગતિશીલતા ટ્રાફિકની સાથે શહેરીજનોનો સમય, ઇંધણ અને ધીરજ પણ બગાડે છે. આ રીતે સરકાર દ્વારા અપાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ તેમજ જનતાના ટેક્સના પૈસાનો બગાડ થાય છે. આવા વિકાસ કામો કરતી વખતે તે વિસ્તારના આગેવાનો, રહેવાસીઓ અને વેપારીઓ સાથે વિગતવાર ચર્ચા કર્યા પછી જ આયોજન થવું જોઈએ. જેથી સ્થાનિક સમસ્યાઓનું વાસ્તવિક સમાધાન મળી શકે અને કોઈ પ્રજાજનો પર ખોટા દબાણ કે તકલીફ ઊભી ન થાય તે રીતે વિકાસ કરવો જોઇએ તે અંગે મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી છે. યુજીવીસીએલ આગળ 7 મીટરનોરસ્તો રહ્યો, 5 મીટર ડેવલપમાં ગયોયુજીવીસીએલ આગળ 12 મીટર પહોળા રોડને આઇકોનિક બનાવવામાં 5 મીટર ફૂટપાથ, ડકલાઇન અને પાર્કિંગ ડેવલપમેન્ટમાં લેવાતાં હવે વાહનચાલકોને રસ્તામાં પસાર થવા માટે આ રોડ 7 મીટરનો રહ્યો છે. જ્યારે બાકીની 5 મીટર જગ્યા વાહન પાર્ક, કેબલ માટે ડકલાઇન (એમ્યુઝમેન્ટ) અને ફુટપાથ બનાવાઇ છે. ઉલ્લેખનિય છે કે, આ પાંચ મીટર જગ્યામાં શાકભાજીની લારીઓ ઊભી રહેતી હતી તે જગ્યા ખાલી કરાવીને લારીધારકોને જિલ્લા પંચાયતની પડતર જગ્યાએ શિફ્ટ કરી આ જગ્યા ડેવલપ કરાઇ છે.
5ની ધરપકડ:છઠીયારડાના યુવકને આંતરી 14 શખ્સોએ માથામાં લોખંડની પાઇપો ફટકારતાં હેમરેજ
ૉપાલોદરથી દર્શન કરીને બાઈક ઉપર ઘરે આવી રહેલા મહેસાણાના છઠીયારડાના યુવક પર 15 જણના ટોળાએ લોખંડની પાઇપો અને ધોકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ અને બેભાન હાલતમાં યુવકને અહીંની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં માથાના ભાગે હેમરેજ થઈ ગયું હતું. ઇજાગ્રસ્ત યુવકના ભાઈની ફરિયાદ આધારે તાલુકા પોલીસે એક કિશોર સહિત ચાર સામે નામજોગ અને 10ના ટોળા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન, કિશોર સહિત 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. છઠીયારડા ગામે ચામુંડાનગર સોસાયટીમાં રહેતો જયેશજી દિવાનજી ઠાકોર (23) રવિવારે બપોરે તેના બે મિત્રો સિદ્ધરાજ ઠાકોર અને કરણ ભીલ સાથે બાઈક પર છઠીયારડાથી કાચા રસ્તે પાલોદર જોગણી માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી ઘરે પરત આવતાં રૂપેણ નદીના પુલ પાસે તેમના ગામના દીવાન આવેજખાન પરવેઝખાન, બહેલીમ નઇમ ખેંગારભાઈ અને એક કિશોરે આવી તેમનું એક્ટિવા આડું કરી તેમને આંતરી ત્રણ જણાએ લોખંડની પાઇપો જયેશજીને માથામાં મારી હતી. નઇમે પાઇપ બરડામાં મારતાં જયેશ નીચે પડી ગયો હતો. તે સમયે બાજુમાં સંતાઈ રહેલા અલબક્ષ ઉર્ફે ભાણો તેમજ અન્ય 10 માણસોએ ધોકા અને પાઇપો લઈ આવી જયેશને મારતાં તે બેભાન થઈ ગયો હતો. બૂમાબૂમ કરતાં આ લોકો ત્યાંથી નાસી ગયા હતા. જયેશને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં માથામાં હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. આ બનાવ અંગે તેમના ભાઇ જસવંતજી ઠાકોરે એક કિશોર સહિત ચાર હુમલાખોરો સામે નામજોગ અને બીજા 10ના ટોળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કિશોર સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. જયેશજીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયો હતો. આ સમાચાર મળતાં મહેસાણા સહિત સ્થાનિક ઠાકોર સમાજના યુવકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ઊમટ્યા હતા.
દૂધસાગર ડેરી:ચેરમેન અશોક ચાૈધરી બિનહરીફ, પેનલ સમરસ થશે
દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સોમવારે કુલ 66 ફોર્મ ભરાયાં હતાં. જેમાં મહેસાણા વિભાગમાંથી વર્તમાન ચેરમેન અશોક ચૌધરીનું એક માત્ર ફોર્મ ભરાતાં તેમની એક બેઠક બિનહરીફ થઈ હતી. બીજી તરફ, 15 બેઠકો પૈકી ત્રણથી ચાર બેઠકો ઉપર ભાજપ સમર્થિત પેનલની સામે ફોર્મ ભરાયાં હોવાનું સહકારી ક્ષેત્રના આગેવાનો કહી રહ્યા છે. પરંતુ તે ફોર્મ પણ પરત ખેંચાઈ જશે અને ભાજપ સમર્થિત અશોક ચૌધરીની આખી પેનલ બિનહરીફ જાહેર થશેનું રાજકીય વિશ્લેષકો અને ભાજપના આગેવાનો કહી રહ્યા છે. સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ઉમેદવારો તેમના ટેકેદરો અને સહકારી આગેવાનોનો મહેસાણા બહુમાળી સંકુલમાં અને કલેક્ટર કચેરીના બીજા માળે ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર જમાવડો જોવા મળ્યો હતો. ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડ સમક્ષ રજૂ થયેલા 66 ઉમેદવારી પત્રોમાં કડી મતદાર વિભાગમાં 3, કલોલ અને ગોઝારિયામાં 2, ખેરાલુ- વડનગર- સતલાસણામાં ૩, ચાણસ્મા- બહુચરાજીમાં 2, પાટણ- વાગડોદમાં 4, મહેસાણામાં 1, માણસામાં 5, વિજાપુરમાં 6, વિસનગરમાં 3, સમી- હારિજ મતદાર વિભાગમાં સૌથી વધુ 9 અને સિદ્ધપુર- ઊંઝામાં 5 ફોર્મનો સમાવેશ થાય છે. જ્યારે દૂધનો જથ્થો વધુ ભરાવ્યો હોય તેવા ચાર વિભાગોમાં ખેરાલુ- વડનગર- સતલાસણામાં 8, વિજાપુરમાં 5, માણસામાં 5 અને પાટણ- વાગડોદ વિભાગમાં 5 ફોર્મ ભરાયાં છે. ભરાયેલાં ફોર્મની મંગળવારે ચકાસણી કરાશે. 26 તારીખે માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર કરાશે. ત્યાર બાદ 27 નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાના દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે અને 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે કે નહીં તે પણ તે જ દિવસે નક્કી થઈ જશે. ડેરીના ચેરમેન અશોક ચાૈધરી સહિત ઉમેદવારોઅે ભાજપના અાગેવાનો સાથે ચૂંટણી અધિકારીને ફોર્મ રજૂ કર્યાં તે સમયે તમામના ચહેરા પર ખુશી જોવા મળી હતી. તમામના ચહેરા પર જીતનું સ્મિત છલકાયું હતું. ડિરેક્ટર કનુ ચૌધરી અને એલ.કે.પટેલે ફોર્મ ના ભર્યુંવર્તમાન ડિરેક્ટરોમાંથી દગાવાડીયાના કનુભાઈ ચૌધરી અને વિસનગરના એલ.કે. પટેલ સિવાય ચેરમેન અશોક ચૌધરી સહિત તમામ 13 ડિરેક્ટરોએ ફોર્મ ભર્યાં છે. તેમની સાથે એકમાત્ર મહેસાણા વિભાગને બાદ કરતા તમામ 14 વિભાગોમાં ભાજપના આગેવાન સહિત અન્ય સહકારી આગેવાનોએ ફોર્મ ભર્યાં છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારી પત્રો ખેંચવાના દિવસે કોના નામનો મેન્ડેટ આપે છે તેના પર સૌની મીટ મંડાઇ છે. ચેરમેન અશોક ચૌધરીનો અગાઉ વિરોધ કરનાર યોગેશ પટેલે પણ માણસા વિભાગમાંથી ફોર્મ ભર્યું છે. ધારાસભ્ય સરદાર ચૌધરીએ પોતાનું અને પત્નીનું ફોર્મ ભર્યુંખેરાલુ- વડનગર- સતલાસણા વિભાગ એકમાં વર્તમાન ધારાસભ્યસરદારભાઈ ચૌધરીએ તેમની પત્ની પ્રવિણાબેન ચૌધરીનું અને બીજાવિભાગમાં પોતાનું ફોર્મ રજૂ કર્યું છે. જ્યારે માણસા વિભાગ એકમાંથીપૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની નવી એન્ટ્રી થઈ છે. ઉમેદવારો પાસેથી ભાજપે રાજીનામું અને વિડ્રો ફોર્મ પણ ભરાવી લીધાંડેરીના વર્તમાન ડિરેક્ટર સહિત ભાજપના સમર્થનમાં અને તેના આગેવાનોએ ફોર્મ ભર્યું છે. સાથે પાર્ટીને પોતાનું રાજીનામું અને વિડ્રો ફોર્મ સોમવારે જ આપી દીધું હતું. જેથી ફોર્મ પરત ખેંચવાના દિવસે જો કોઈ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે તો પાર્ટી જે-તે ઉમેદવારે આપેલ વિડ્રો ફોર્મ થકી તેનું ફોર્મ પરત ખેંચશે અને જેના નામનો મેન્ડેટ અપાયો છે તેનું જ ફોર્મ ચાલુ રાખશે. અશોકભાઈના માણસો મારા ટેકેદારને ઉઠાવી ગયા હતા: અરૂણભાઇવિસનગર વિભાગમાંથી પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરનાર ચૌધરી અરુણભાઈ દલસંગભાઈએ આક્ષેપ કર્યો હતો કે અમે ફોર્મ ભરીને બહાર નીકળ્યા એટલે વર્તમાન ચેરમેન અશોકભાઈ ચૌધરીના માણસો અમારા ટેકેદારને ઉપાડીને લઈ ગયા હતા.
ભાસ્કર એક્સક્લૂસિવ:જિલ્લામાં 44,655 મતદારોનાં નામ રદ થશે
મહેસાણા જિલ્લામાં શરૂઆતના 10 દિવસમાં 3,58,172 મતદારોના એટલે કે 20.01 ટકા ગણતરી ફોર્મ ડિઝિટલ થયા હતા. ત્યાર પછીના પાંચ જ દિવસમાં તા.24 નવેમ્બર સુધીમાં 6,93,925 ફોર્મ (38.71 ટકા) ભરાઇને આવતાં અત્યાર સુધીમાં કુલ 10,52,097 ફોર્મ ડિઝિટલ થઇ ગયાં છે. બુથ ઉપર બીએલઓના સતત કાર્યક્રમને લઇ પાછલા પાંચ દિવસમાં આ કામગીરીમાં એકદમ વધારો દેખાયો છે. બીજી બાજુ, જિલ્લામાં મતદાર યાદી સુધારણાના ફોર્મ વિતરણ પછી કુલ 44,655 ફોર્મ ભરાઈને પરત નહીં આવતાં પાછળના કારણોમાં મૃત્યુ, કાયમી સ્થળાંતર, મુલાકાતો પછી પણ હાજર મળ્યા નથી. આવા મતદારોના નામ યાદીમાંથી રદ થશે. અત્યાર સુધી 21697 મતદારોના મૃત્યુ, 19199 કાયમી સ્થળાંતર, 678 મતદારનો સંપર્ક ન થયો, 3012 મતદાર ડુપ્લીકેટ તેમજ અન્ય 69 મળી 44,655 મતદારો (2.49 ટકા) પ્રક્રિયા બાદ રદ થશે. આંકડો હજુ વધશે. જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારમાં કુલ 17,89,437 મતદારોને સરના ગણતરી ફોર્મ વિતરણ કરાયાં છે. ફોર્મ વિતરણ 5 નવેમ્બરથી શરૂ કરાયું હતું અને 9 નવેમ્બરથી ભરાઇને આવેલાં ફોર્મ બીએલઓએ મોબાઇલમાં ઓનલાઇન એન્ટ્રી શરૂ કરી હતી. જેમાં અત્યાર સુધીમાં મતદારોથી સીધી માહિતી મળી તેવા ફોર્મ ભરાઇને આવી ગયા છે. હવે 2002ની યાદીમાં મેપિંગ, મતદારો ન મળવા વગેરે કિસ્સાઓમાં હજુ 41.26 ટકા ફોર્મ બાકી હોઇ મતદારોથી એકઠા કરવામાં આવશે. નોટિસ પછીયે ફોર્મ નહીં આવે તો નામ રદ થશે મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાળંદે કહ્યું કે, મતદારો તા.30 નવેમ્બર સુધી ફોર્મમાં વિગતો ભરી બીએલઓને આપે. ભરાયેલા ફોર્મની બીએલઓએ ઓનલાઇન એન્ટ્રી કરવાની હોય છે. 4 ડિસેમ્બરે ડેટા એન્ટ્રી કામગીરી પૂરી થશે અને 9 ડિસેમ્બરે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થનાર છે. જેમાં જેમના ફોર્મ આવેલા હશે તેમના નામ યાદીમાં આવશે. ત્યાર પછી વાંધા તકરારની નોટિસો નીકળશે. ફોર્મ ભરાઇને પરત નહીં આવે તેમને નોટિસ ઇસ્યુ કરાશે, આમ છતાં ફોર્મ નહીં આવે તો પછી યાદીમાંથી નામ રદ થશે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અભિનેતા ધર્મેન્દ્રના નિધનના રહ્યા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. બીજા સમાચાર દિલ્હીથી છે જ્યાં ઇન્ડિયા ગેટ પર નક્સલવાદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા બદલ 22 લોકોની ધરપકડ કરવામાં આવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના શિખર પર 21 ફૂટ ઊંચો ધર્મધ્વજ ફરકાવશે. 2. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટી ટેસ્ટનો ચોથો દિવસ છે. સવારે 9 વાગ્યાથી મેચ રમાશે. કાલના મોટા સમાચારો 1. 89 વર્ષીય ધર્મેન્દ્રની 'ચુપકે-ચુપકે' વિદાય:અંતિમ સંસ્કાર પછી હેમા માલિની-ઈશા દેઓલે દુઃખી ચહેરે ચાહકો સમક્ષ હાથ જોડ્યા આજે પીઢ એક્ટર ધર્મેન્દ્રનું અવસાન થયું છે. બપોરે 89 વર્ષીય ધર્મેન્દ્રના ઘરની બહાર એમ્બ્યુલન્સ આવી હતી. આ દરમિયાન ઘર તથા પવન હંસ સ્મશાન ઘાટની સુરક્ષા સઘન કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની સાથે આખો દેઓલ પરિવાર જોવા મળ્યો હતો. ઉપરાંત સલમાન ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને આમિર ખાન સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ એક્ટર ધર્મેન્દ્રના મૃત્યુને એક યુગનો અંત ગણાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સાંસ લેને કા હક માંગતે, નહીં કીસી સે ભીખ માંગતે:દિલ્હીમાં વધતા પ્રદૂષણ મામલે પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પર નક્સલવાદી હિડમાના પોસ્ટર લહેરાવાયા રવિવારે મોડી સાંજે દિલ્હીના ઈન્ડિયા ગેટ પર પ્રદૂષણ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ દેશના મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી કમાન્ડર માધવી હિડમા (44) ના પોસ્ટર લહેરાવ્યા હતા. પોસ્ટરોમાં હિડમાની સરખામણી આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડા સાથે કરવામાં આવી હતી. તેને પાણી, જંગલો અને જમીનના રક્ષક તરીકે વર્ણવવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ માડવી હિડમા અમર રહો જેવા નારા લગાવ્યા. તેમની પાસે માડવી હિડમાને લાલ સલામ જેવા નારા લખેલા પોસ્ટરો પણ હતા. એક પ્રદર્શનકારીના પોસ્ટરમાં લખ્યું હતું, બિરસા મુંડાથી માડવી હિડમા સુધી, આપણા જંગલો અને પર્યાવરણ માટેનો સંઘર્ષ ચાલુ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઉદયપુરના શાહી લગ્નમાં જેનિફર લોપેઝે 60 કરોડ લીધા:સિટી પેલેસ ખાતે યોજાયેલા રિસેપ્શનમાં ટ્રમ્પ જુનિયર સાથે સાઉથ સ્ટાર રામ ચરણ હાજર ઉદયપુરમાં અમેરિકન અબજોપતિ રામા રાજુ મેન્ટેનાની દીકરી નેત્રા મેન્ટેનાએ વામસી ગદીરાજુ સાથે લગ્ન કર્યા. સિટી પેલેસ ખાતેના રિસેપ્શનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયર બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યા. તેમની સાથે ગર્લફ્રેન્ડ બેટ્ટીના એન્ડરસન પણ હતી. ટ્રમ્પ જુનિયર આજે સાંજે લગભગ 5 વાગ્યે ચાર્ટર પ્લેન દ્વારા અમદાવાદ જવા રવાના થશે. જનાના મહેલમાં ડીજે બ્લેક કોફી સાથે હોલિવૂડ સિંગર જેનિફર લોપેઝે પર્ફોર્મ કર્યું. આ પહેલાં પિછોલા લેકની વચ્ચે જગ મંદિરમાં રવિવારે બપોરે મેરેજ સેરેમની પૂર્ણ થઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. CJI સૂર્યકાંત શપથ લીધા બાદ માતાપિતાના પગે લાગ્યા:દેશના 53મા ચીફ જસ્ટિસ બન્યા, ભૂતપૂર્વ CJI ગવઈને ભેટી પડ્યા; 14 મહિનાનો કાર્યકાળ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સૂર્યકાંતને ભારતના 53મા ચીફ જસ્ટિસ (CJI) પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ CJI સૂર્યકાંતે રાષ્ટ્રપતિ ભવનમાં PM મોદી અને અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી. શપથ લીધા બાદ જસ્ટિસ સૂર્યકાંત ભૂતપૂર્વ CJI બીઆર ગવઈને ભેટી પડ્યા અને તેમના માતાપિતાને પણ પગે લાગ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં બ્રાઝિલ સહિત સાત દેશોના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના જજ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચીને ભારતની દીકરીને 18 કલાક ટોર્ચર કરી:અરુણાચલમાં જન્મેલી યુવતીનો પાસપોર્ટ ખોટો ગણાવ્યો, ચીને કહ્યું- આ રાજ્ય ચીનનો ભાગ; મોદીને પત્ર લખીને ફરિયાદ કરી બ્રિટનમાં રહેતી ભારતીય મૂળની મહિલા પેમ વાંગજોમે આરોપ લગાવ્યો છે કે ચીનના શાંઘાઈ એરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કલાકો સુધી રોકી રાખી હતી અને હેરાન કર્યા હતા. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા, પેમએ કહ્યું કે ચીની અધિકારીઓએ તેમના ભારતીય પાસપોર્ટને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેમાં અરુણાચલ પ્રદેશને તેમનું જન્મસ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તે 21 નવેમ્બરના રોજ લંડનથી જાપાનની જઈ રહી હતી. શાંઘાઈ પુડોંગ એરપોર્ટ પર તેનું ત્રણ કલાકનો ટ્રાન્ઝિટ હતું. પેમએ આરોપ લગાવ્યો કે ઇમિગ્રેશન કાઉન્ટરના અધિકારીઓએ તેમના પાસપોર્ટને અમાન્ય જાહેર કર્યો અને કહ્યું કે અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે. તેમની પૂછપરછ કરવામાં આવી અને 18 કલાક સુધી ટોર્ચર કરીને મજાક ઉડાવવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાષ્ટ્રીય નેતાની રૂપાણી પરિવાર સાથે બંધ બારણે 22 મિનિટ બેઠક:શહેર પ્રમુખને બહાર બેસાડ્યા, ઋષભ રૂપાણીએ બી.એલ.સંતોષ અને વિશ્વકર્માના ચરણ સ્પર્શ કર્યા રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરાયું હતું. આજની મિટિંગને પગલે સૌરાષ્ટ્રભરના ભાજપના સાંસદો-ધારાસભ્યો સહિતના નેતાઓએ ખાસ હાજર રહેવા આદેશ કરાયો હતો. આ બેઠક પહેલાં બી.એલ.સંતોષ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવવા તેમના ઘરે પણ ગયા હતા. જ્યાં વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પગે પણ લાગ્યા હતા. જો કે અંજલિબેન સાથેની 22 મિનિટ સુધી બંધ બારણે યોજાયેલી આ બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને બહાર બેસાડવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી:નલિયા 11.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું હાલમાં પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. નવેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા નહિવત્ છે. જો કે, આગામી ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. કારણ કે, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, જેની અસર આગામી સમયમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. જે બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, રાજ્યમાં નલિયા 11.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીની અસર જોવા મળી રહી છે, જ્યારે બપોરના ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસો ખુબ જ ઠંડા રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં અત્યારે પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જો આગામી દિવસોમાં પવનોની દિશા સ્થિર થશે તો ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મોદી કાલે રામમંદિર પર અમદાવાદમાં બનેલી ધજા ફરકાવશે:અયોધ્યાને 1000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યુ, હેલિકોપ્ટરથી દેખરેખ; NSG- ATSના કમાન્ડો તહેનાત વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાની સેના પર બે આત્મઘાતી હુમલા:હુમલાખોરો હેડક્વાર્ટરમાં ઘૂસ્યા, 3 કમાન્ડોની હત્યા કરી; જવાબી કાર્યવાહીમાં 3 હુમલાખોરો માર્યા ગયા, TTP પર આરોપ વાંચો સંપૂર્ણ સમાાચાર 3.નેશનલ : ખડગેએ કહ્યું- કર્ણાટકના CM બદલવા અંગે હાઇકમાન્ડનો નિર્ણય અંતિમ:ભાજપે પૂછ્યું- રાષ્ટ્રીય અધ્યક્ષ હાઈકમાન નથી, તો કોણ? ગૃહ મંત્રી બોલ્યા- હું દાવેદાર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : FBI ચીફ કાશ પટેલે ગર્લફ્રેન્ડને કમાન્ડો સુરક્ષા પૂરી પાડી:પોતે સરકારી પ્લેનમાં 12 પ્રાઇવેટ ટૂર કર્યા, સરકારી રિસોર્સના ખોટા ઉપયોગ પર વિવાદ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : વધતા ટેક્સના કારણે સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ યુકે છોડશે:બ્રિટનના આઠમા સૌથી ધનિક વ્યક્તિ, દુબઈ શિફ્ટ થવાની તૈયારી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતે જીત્યો પહેલો બ્લાઇન્ડ વુમન્સ T20 વર્લ્ડ કપ:ફાઇનલમાં નેપાળ ફક્ત 1 જ બાઉન્ડરી ફટકારી શક્યું; ટુર્નામેન્ટમાં પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 138 દિવસ પછી શનિ માર્ગ બદલશે!:28 નવેમ્બરે મીન રાશિમાં વક્રીમાંથી માર્ગી થશે; કોઈને નાણાકીય લાભ તો કોઈની શરણાઈ વાગશે, જાણો તમારી રાશિના ફાળે શું છે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે રાજસ્થાનમાં અજગર સાથે વ્યક્તિની લડાઈ, કર્મચારીને જકડી લીધો રાજસ્થાનના કોટામાં થર્મલ પ્લાન્ટ પર કામ કરી રહેલા મજૂરને આશરે 12 ફૂટ લાંબા અજગરે જકડી લીધો. અજગરનો ભરડો એટલો મજબૂત હતો કે તેનાથી પગ છોડાવવા માટે મજૂર લગભગ 20 મિનિટ સુધી કોશિશ કરતો રહ્યો પણ અજગરે પગ છોડ્યો નહીં. બૂમ સાંભળીને પાસે કામ કરી રહેલા મજૂરો દોડી આવ્યા. તેમણે લાકડીઓ અને દોરડાની મદદથી લગભગ 10 મિનિટમાં મજૂરને અજગરના ભરડામાંથી છોડાવ્યો. આ પછી અજગરને લાકડીઓથી ફટકારીને અધમૂઓ કરી દીધો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગ્રાઉન્ડ રિપોર્ટ : 'અરવિંદભાઈ પર પ્રેશર હશે, નહિતર આવું ન કરે':કોડીનારના BLOએ રાત્રે 2 વાગ્યા સુધી SIR ફોર્મ ચેક કર્યાં ને સવારે પંખે લટકી ગયા; પિતા પણ નિવૃત્ત શિક્ષક 2. સ્વપ્નદૃષ્ટા-1 : નહેરુએ ગુજરાતીઓને કહ્યું, ‘પાકિસ્તાન ચલે જાઓ’:16 વર્ષના બાળકનું માથું ધડથી અલગ થયું! કેટલાયે યુવાનોનું લોહી રેડાયા પછી જન્મ્યું ગુજરાત 3. મંડે મેગા સ્ટોરી : આંખ બંધ કરીને ટાર્ગેટ સુધી પહોંચી શકતા હતા આતંકીઓ:26/11ના મુંબઈ હુમલાનું આટલું પર્ફેક્ટ પ્લાનિંગ કેવી રીત થયું? 5 રીતે અટકાવી શકતા હતા તબાહી 4. આજનું એક્સપ્લેનર:નાઇજીરિયામાં 7,000 ખ્રિસ્તીની હત્યા, સ્કૂલમાંથી વિદ્યાર્થિનીઓ કિડનેપ; આખરે ઇસ્લામિક આતંકીઓ શું ઇચ્છે છે? ટ્રમ્પ સ્ટ્રાઇકની તૈયારીમાં 5. ભાસ્કર એક્સક્લૂસિવ : શું માયાવતી RSSની જેમ રણનીતિ બનાવી રહ્યાં છે?:2027માં ભાજપ નહીં, અખિલેશ નિશાન પર; જૂના સાથીઓએ કહ્યું, બહેનજીને સમજવા અશક્ય કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ:વૃષભ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને બમ્પર ફાયદો; મિથુન, સિંહ, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
મહેસાણા પંથકમાંથી હૃદયને સંવેદનાથી ભરી દે તેવી એક એવી ઘટના સામે આવી છે, જ્યાં પ્રથમ પત્નીથી થયેલા છુટાછેડાની પીડાએ એક યુવકનું જીવન જ છીનવી લીધું. છુટાછેડા બાદ યુવક માનસિક રીતે ખૂબ જ તૂટી પડ્યો હતો. તેને વિશ્વાસ હતો કે આ વિયોગ માટે તેના પોતાના જ માતા–પિતા જવાબદાર છે. આ ગેરસમજ અને માનસિક ઝટકાથી તે પરિવારથી દૂર થતો ગયો અને ડિપ્રેશનની ગીચ અંધકારમાં ડૂબતો રહ્યો. દીકરાને સ્થિરતા મળે તે માટે પરિવારે સમજાવટના અનેક પ્રયત્નો કર્યા અને તેના બીજા લગ્ન પણ કરાવ્યા, જેનાથી તેને એક સંતાન પણ જન્મ્યું. તેમ છતાં, યુવકના મનનો ઘા ક્યારેય ભરી શકાયો નહોતો, અને ભૂતકાળ તેને સતત સતાવતો રહ્યો. પરિવારે છેલ્લી આશા તરીકે પોલીસ સ્ટેશન બેઝ્ડ મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર હેતલબેન પરમારનો પણ સહારો લીધો. જોકે, પત્ની વિયોગનો આઘાત એટલો ઊંડો હતો કે તેની સાથે સરળ વાતચીત કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. આ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે એક દિવસ યુવક રસ્તા પર બેભાન હાલતમાં મળી આવ્યો. રાહદારીઓએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ તેની હાલત વધુ બગડી ચૂકી હતી. અંતિમ ક્ષણોમાં તેણે પોતાના સંતાનને ગળે લગાવ્યું, લાડ લડાવ્યા. ત્યારબાદ તેણે સંતાનના હાથે પાણી પી અંતિમ શ્વાસ લીધા. પત્ની વિયોગ અને માનસિક તણાવમાં ફસાયેલા આ યુવકની દુઃખદ અંત્યકથા આજે પણ પરિવારને તોડીને રાખે છે અને એક ગંભીર પ્રશ્ન છોડી જાય છે: ‘એક જીવન બચાવી શકાય તેમ હતું, તો ક્યાં ભૂલ થઈ?’
લોકો પરેશાન થયા:પાટણમાં જીઈબી પમ્પિંગ સ્ટેશન નજીક ગંદકીની દુર્ગંધથી સ્થાનીકો ત્રસ્ત બન્યા
શહેરના જીઈબી પમ્પિંગ સ્ટેશનની બાજુમાં પડેલ ખુલ્લા મેદાનમાં છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા કચરો ફેંકવામાં આવતો હોય કચરાને લઈ ભારે ગંદકી થતા તેની દુર્ગંધ આસપાસના વિસ્તારોમાં પ્રસરી રહી છે. ખાસ કરીને આ કચરામાં પ્રતિબંધિત સિંગલ યૂઝ ઉપયોગ કરેલી ગંદી પ્લાસ્ટિક કોથળીઓ મોટા પ્રમાણમાં જથ્થો અને ઘરેલુ કચરો હોય પશુઓ દ્વારા તેને ફંફોળી આજુબાજુની દુકાનો બહાર અને રહેણાક ઘરોની બહાર ખેંચીને લઈ જતા ત્યાં પણ ગંદકી પ્રસરી રહી છે.સ્થાનિક રહીશ રાજુભાઈ પટેલે જણાવ્યું કે, પાલિકા તાત્કાલિક સફાઈ કરીને સ્થળને સ્વચ્છ અને સ્વસ્થ બનાવી અહીંયા ગંદકી ના થાય માટે કાર્યવાહી કરાય તો આ દુર્ગંધ અને ગંદકીનાં કારણે વિસ્તારમાં રોગચાળો પણ થઈ શકે છે.
વાવ થરાદ એસપી કચેરીમાં વડગામ ધારાસભ્ય દ્વારા પોલીસ સ્ટેશન બહાર રજૂઆત દરમિયાન પોલીસના પટ્ટા ઉતારવાના ઉગ્ર નિવેદનથી રાજ્ય ભરમાં પોલીસ પરિવારમાં રોષ ફુટી નીકળ્યો છે. સોમવારે પાટણમાં પણ મોટી સંખ્યામાં પાટણ પોલીસ કર્મચારીના પરિવાર એકત્ર થઈ હેડ ક્વાર્ટરથી રેલી કાઢી હાય હાયના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી કલેકટર કચેરીમાં કલેક્ટરને આવેદન આપી જીગ્નેશ મેવાણી દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરી હતી. પાટણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો એકત્ર થઈ કલેકટર કચેરી સુધી રેલી કાઢી કચેરીમાં પહોંચી ધારાસભ્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્ય કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડગામના ધારાસભ્યએ પોલીસ માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો.એ અશોભનીય છે. જનપ્રતિનિધિને આવી ભાષા શોભતી નથી. પોલીસની નોકરી કોઈની મહેરબાનીથી નથી મળતી મહેનતથી મળે છે. જ્યારે પણ કોઈ અનિચ્છનીય બનાબ બને અથવા હુલ્લડ થાય કોમી થાય, દિવાળી જેવા સારા નસરા પ્રસંગમાં પણ પોલીસ પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યની ચિંતા કરે છે. અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે છે. આ નિવેદન મામલે જીગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપે તેવી અમારી માંગ છે. જો માફી નહીં માંગે તો આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં પોલીસ પરિવાર વધુ આક્રમક બની ઉગ્ર આંદોલન કરશે. કોઈના બાપ એ પટ્ટા નથી પહેરાવ્યા તો ઉતરે મહેનત કરીને પહેર્યા છે : મહિલાપોલીસ પરિવારની એક મહિલાએ જણાવ્યું હતું કે અમારા ઘરના સભ્યો અમારી ચિંતા કર્યા વગર દિવસ રાત લોકોની સુરક્ષા માટે દોડે છે. ખૂબ મહેનત કરીને એમને આ નોકરીઓ મેળવી પટ્ટા પહેર્યા છે. કોઈના બાપ દ્વારા એમને પટ્ટા પહેરાવવામાં આવ્યા નથી જે ઉતારી શકે આવી ભાષા વાપરતા તેમને વિચાર કરવો જોઈએ. પોલીસ કર્મચારીઓનું જે શબ્દોમાં અપમાન કર્યું છે તે બદલ માફી નહીં માંગે તો અમે મહિલાઓ ઉગ્ર વિરોધ કરીશું. સમગ્ર રાજ્યમાં વિરોધ થશે.
વૈદિક સરસ્વતી નદીનાં તટે પાટણનાં અનાવાડા હરિ ઓમ ગૌશાળાનાં અણહીલ ગૌભક્તિ મહોત્સવમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત સાત દિવસ સુધી યોજનાર સુરભી ગૌ મહાયજ્ઞમાં 108 ગૌમાતા બિરાજમાન કરી ગૌ માતાને મહાપૂજા થશે. સાથે યજ્ઞના દર્શનાર્થે આવનાર લોકો યજ્ઞની સાથે યજ્ઞશાળામાં બિરાજમાન 108 ગૌ માતાની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી શકશે. હરિ ઓમ ગૌશાળામાં ગૌમાતાઓ માટે ગૌ હોસ્પિટલ નિર્મિત કરવાનાં ઉદ્દેશથી 1થી 7 ડિસેમ્બર સુધી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ યોજાવવાનો છે.જેમાં કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાગવત કથાનું રસપાન કરાવશે. આ ભાગવત કથા લોકો ની સાથે ગૌશાળાનાં કપિલા ગાય માતા પણ સાંભળવાના છે.તેમના માટે કથા મંડપમાં જ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાની બિલકુલ સામે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.આ બેઠક પર કપિલા ગૌ માતાઓના વરખનાં સિંગ પહેરી શણગાર સજી બિરાજમાન થશે.અને સાત દિવસ સુધી ભાગવત કથાનું રસપાન કરશે. સોનાનાં સિંગ સાથેનો શણગાર સજી કપિલા ગૌ માતા ભાગવત સાંભળશે ગૌશાળાના સંચાલક દિનેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગૌશાળામાં ભાગવત કથાની સાથે સુરભી ગૌ મહાયજ્ઞ પણ યોજાવવાનો છે. માતપુર ગામનાં જીગરભાઈ ડાયાભાઈ પટેલ આ મહાયજ્ઞનાં મનોરથી છે. કહેવાય છે કે સુરભી યજ્ઞ દ્રાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ આશરે 5500 વર્ષ પૂર્વે દ્વારીકા નગરીમાં કર્યો હતો. આ સુરભી ગૌ મહાયજ્ઞનું વિશેષ મહત્વ છે. બીમાર થઈ ગૌશાળામાં આવ્યા બાદ તંદુરસ્ત થયેલી 108 ગૌમાતા આ મહા યજ્ઞમાં સહભાગી થવાની છે. યજ્ઞ શાળાની ચારે બાજુ 108 ગૌ માતા બિરાજમાન થશે અને તેમનું પૂજન થશે દર્શનાર્થે આવનાર લોકો આ ગૌ માતાની પ્રદક્ષિણા કરી પુણ્ય મેળવી શકશે.
શંખેશ્વર તાલુકાના રૂની ગામે આવેલ વાડીમાં શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી.જેમાં સમાજના પરિવારો દ્વારા દેખાદેખીમાં થઈ રહેલા ખોટા ખર્ચ અટકાવવા માટે લગ્ન અને મરણ પ્રસંગમાં વિવિધ સુધારા સાથેનું સમાજનું નવું બંધારણ નક્કી કરાયું હતું.અને તેના પાલન માટે કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે લગ્ન પ્રસંગે ડીજે,વરઘોડો વરરાજાની એન્ટ્રી અને પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નવા બંધારણના નિયમો એક ડિસેમ્બરથી જ શંખેશ્વર તાલુકાના વઢિયાર ઠાકોર સમાજના પરિવારોમાં લાગુ થશે. ડી.જે લાવનારને 51 હજારનો દંડ, સગાઈ તોડાનારને 21 હજાર, છૂટાછેડા કરનારને 1.51 લાખ દંડ નક્કી કરાયો છે. શંખેશ્વર તાલુકા વઢિયાર ઠાકોર સમાજ દ્વારા નવું બંધારણ
ભાસ્કર ઈનસાઈડ:અબલુવામાં ધો-12 પાસ, દુનાવાડામાં ધો-10 પાસ બોગસ તબીબ પ્રેક્ટિસ કરતા પકડાયા
સરસ્વતી તાલુકાના અબલુવા અને હારિજ તાલુકાના દુનાવાડા ગામમાં માત્ર ધોરણ 10 અને 12 પાસ યુવકો કોઈપણ ડિગ્રી વગર માત્ર અનુભવના આધારે બીમાર દર્દીઓના નિદાન કરી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો આપી સારવાર કરતા હોય પોલીસે દવાઓના જથ્થા સાથે બંને બોગસ તબીબને પકડ્યા છે. એસ.ઓ.જી.પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કાંકરેજ તાલુકાના રાનેર ગામનો વતની પીન્ટુસીંગ પ્રભાતસીંગ જાદવ ધોરણ-12 પાસ, અબલુવા ગામમાં એક દુકાનમાં ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પીન્ટુસીંગ પાસે ડોક્ટર તરીકેની કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવા છતાં તે બીમાર વ્યક્તિઓને તપાસી એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શનો આપી બીમાર લોકોનાં સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરી ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરતા પકડી પાડ્યો હતો તેની પાસેથી રૂ.4,581ની એલોપેથીક દવાઓ ઇન્જેક્શન અને મેડિકલના સાધનો જપ્ત કર્યા હતા. અંદાજે 8 મહિનાથી વિસ્તારમાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ અંગે વાગડોદ પોલીસ મથકે પીન્ટુસિંગ જાદવ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. દુનાવાડા ગામે પોલીસે રેડ કરી પાટણ ધરતી સોસાયટીમાં રહેતા મુકેશ કરસનભાઈ પ્રજાપતિ ધોરણ 10 પાસ એક ઓરડીમાં મેડિકલ ડીગ્રી કે સર્ટિફિકેટ વગર બીમાર લોકોને તપાસી એલોપેથિક દવાઓ આપી ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરતા પકડી પાડ્યા હતા તેમની પાસેથી દવાઓ અને મેડિકલના સાધનો મળી કુલ રૂ.5,123નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. છેલ્લા 4 વર્ષથી વિસ્તારમાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. 11 માસમાં 31 બોગસ ડોક્ટર પકડાયાપાટણ જિલ્લાનાં ઇતિહાસમાં પ્રથમ વખત એસઓજી પોલીસે માત્ર 11 માસમાં 31 બોગસ ડોક્ટર પકડ્યા છે. જેમાં મોટાભાગનાં નકલી ડોક્ટર ગામડાઓમાંથી પકડાયા છે.તેઓ અગાઉ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતાં ત્યાંથી ઇન્જેક્શન અને દવાઓ આપતાં શીખ્યા બાદ તેઓ ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતાં. આ લોકો દરરોજ 8 થી 10 બીમાર લોકોને તપાસી સરેરાશ 800થી 1000ની કમાણી કરી લેતા હોય છે. જોકે પોલીસ બોગસ ડોક્ટરો સામે પગલાં લઈ રહી છે.પરંતુ આરોગ્ય તંત્ર કેમ આંખ આડા કાન કરે છે. તેવા સવાલ ખાડા થયા છે.
જિલ્લામાં પ્રથમવાર પાટણ શિહોરી હાઇવે ઉપર ચાલુ બાઇકે સામે આવતા વાહનો ઉપર પથ્થર મારાની ઘટના સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી પાટણ અને સરસ્વતી તાલુકાના પથ્થર મારો કરનાર ત્રણ પૈકી બે યુવકો પકડી ઘટના પરથી પડદો ઉઠાવ્યો છે.જેમાં રાત્રે બાઈક સવાર ત્રણેય મિત્રોએ એક ડમ્પર ઉપર ચડેલો ગુસ્સો ઉતારવા સામે આવતા અન્ય ત્રણ ડમ્પરો અને બસોને છૂટા પથ્થર મારી કાચ ફોડી નાસી છૂટ્યા હોવાનું હાલમાં સામે આવ્યું છે. પાટણ-શિહોરી હાઇવે ઉપર છ દિવસ પૂર્વે નાયતા ગામ પાસેથી રાત્રે બાઈક પર નીકળેલા ત્રણ શખ્સોએ સામેથી આવતી ત્રણ એસટી બસ અને ડમ્પર પર છુટા પથ્થરો મારી કાચ ફોડી નાખ્યા હતા. આ ઘટનામાં પાટણ એલસીબી પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ કરી સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામના ધવલ જયંતીભાઈ પ્રજાપતિ અને અઘારનાં રણજીતજી રમેશજી ઠાકોર સાથે જે બાઈક ઉપર સવાર થઈને પથ્થરમારો કર્યો હતો તે બાઈકને જપ્ત કર્યું છે. તેમની સાથે રહેલ પાટણના શ્રમજીવીમાં રહેતાં રાકેશજી ઉર્ફે રોકી ભરતજી ઝાલાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ટર્બો ચાલકે સામે ગુસ્સો ઉતારવા 3 યુવકોએ પથ્થરમારો કરી વિકૃત આનંદ માણ્યોત્રણેય યુવકો બાઈક પર શિહોરીથી પાટણ આવી રહ્યા હતા તે વખતે રસ્તામાં એક ટર્બાએ કટ માર્યો હતો અને ટર્બો તેમની તરફ ઘસી આવ્યો હતો. બેફામ ચાલકથી યુવકો ગુસ્સે થઈ ગયા હતા.અને તેના ગુસ્સામાં આપો ગુમાવી રોડ પર આવતાં અન્ય ટર્બાઓ સાથે બસો પર પણ પથ્થરમારો કરી વિકૃત આનંદ મેળવ્યો હતો.તેવુ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. બાઈક ઉપર લખેલા રાજાધિરાજનાં લખાણથી કડી મળતા કેસ સોલ્વ કર્યો : PI એલસીબી પી.આઇ રાકેશ ઉનાગરે જણાવ્યું હતું કે પોલીસને સીસીટીવી ફૂટેજમાં સુજનીપુર ત્રણ રસ્તાથી પાટણ શહેર તરફ આવતું શંકાસ્પદ બાઈક દેખાયું હતું.પરંતુ બાઈકને આગળ કે પાછળની નંબર પ્લેટ બરાબર દેખાતી ન હતી.રાત્રિની ઘટના હોવાથી ફૂટેજનું વિઝન પણ બરાબર ન હતું પરંતુ બાઈક પર આગળના ભાગે રાજાધિરાજ લખેલું દેખાયું હતું તેના આધારે રાજાધિરાજ લખેલું બાઈક ક્યાં આવે છે.તેનું જુદી જુદી જગ્યાએ સર્ચ કરાવ્યું હતું. જેમાં પાટણના એક શોરૂમ પર આવું બાઈક આવતું હોવાના પોલીસને ઇનપુટ મળતાં પોલીસે તે શોરૂમ પર તપાસ કરી હતી.ત્યાંથી પોલીસને ધવલ પ્રજાપતિના ઇનપુટ મળ્યા હતા પોલીસે ધવલ નો સંપર્ક કર્યો હતો અને તેની પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો ભેદ ખુલ્યો હતો.
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદનને લઇને હિંમતનગરમાં પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો. હિંમતનગરના આંબાવાડી વિસ્તાર પાસે આવેલા પોલીસ ક્વાટર્સથી અહિંસા સર્કલ સુધી પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરાયો હતો. એક્સ પોલીસ એસો. પ્રમુખ નિવૃત્ત પીએસઆઇ બીપીનભાઇ નાયીએ જણાવ્યુ હતું કે, અમે જિજ્ઞેશ મેવાણી દ્વારા કરેલ નિવેદનનો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ભવિષ્યમાં કોઇ પણ વ્યક્તિ દ્વારા પોલીસને માનસિક હેરાનગતિ ન થાય તે જોવાની એક જાગૃત ધારાસભ્ય તરીકે તેમની છે, ભવિષ્યમાં જો કોંગ્રેસના ધારાસભ્ય જવાબદારીપૂર્વક વર્તે નહી તો અમે જનઆક્રોશ રેલીનો વિરોધ કરીશું. પુષ્પાબેન પરમારે જણાવ્યું હતું કે, પોલીસ પટ્ટા ટોપી ઉતરી તેવું કામ કરતા નથી તથા સમાજની રક્ષાનું કામ કરે છે. અમારા પતિ વાર તહેવારમાં ઘરે હોતા નથી અને લોકોની સુરક્ષામાં ખડેપગે ઉભા રહે છે ત્યારે ધારાસભ્યના આવા બેજવાબદાર નિવેદનની વિરોધમાં અમે પોલીસ પરિવાર તેનો વિરોધ કરશું અને ધારાસભ્ય માફી નહીં માંગે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. રંજનબેન પરમારે જણાવ્યું હતું કે, ધારાસભ્ય જિજ્ઞેશભાઇ મેવાણીએ પોલીસ વિરોધ કરેલા નિવેદનને પોલીસ પરિવાર ચલાવી લેશે નહીં. પોલીસ કોઇપણ પ્રકારની રજા વગર સતત નોકરી કરે છે, પોલીસની નોકરી એમ જ નથી મળી તેના માટે ઘણી મહેનત કરી હોય ત્યારે નોકરી મળે છે.
ભાસ્કર નોલેજ:SIR: મૃત્યુ, સ્થળાંતર સહિતના મતદારોના નામ ચકાસણી બાદ જ રદ થશે
એસઆઈઆરની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને નાગરિકોના મનમાં કેટલીક ખૂટતી વિગતોને કારણે મતદારયાદીમાંથી નામ કમી થઈ જવાનો સંશય પ્રવર્તી રહ્યો છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર જૂની વિગતો ન મળતી હોય તો હાલ ઉપલબ્ધ વિગતો ભરીને ફોર્મ આપી દેવું અને ચકાસણી વખતે જરૂરી પુરાવા રજૂ કરી એન્યુમરેશન મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાય છે. મૃત્યુ સ્થળાંતર સહિતના મતદારોના નામ ચકાસણી બાદ જ રદ થશે તેવું ચૂંટણી વિભાગમાંથી જાણવા મળ્યું હતું. સવા બે દાયકા બાદ શરૂ થયેલ સરની પ્રક્રિયામાં આ વખતે સામાન્ય ફેરફાર થયો છે અને એક પ્રકારે મૂળ રહેવાસી વિગતોની ખરાઈ થઈ રહી છે. સામાન્ય જન માનસમાં મતદાર યાદીમાંથી નામ કમી થઈ જવાનો ખોફ પ્રવર્તી રહ્યો છે. ચૂંટણીપંચ દ્વારા મતદારોનું મેપિંગ એન્યુમરેશન થઈ રહ્યું છે. એન્યુમરેશન ફોર્મ એ મતદાર યાદીમાં નોંધાયેલ મતદાર દર્શાવેલ સરનામા ઉપર જ રહે છે કે કેમ તેની ખરાઈ, મતદારની હયાતીને અધિકૃત કરતું એક પ્રકારનુ સોગંદનામું જ છે 4 ડિસેમ્બરે એન્યુમરેશન ફોર્મ સ્વીકારવાની કામગીરી પૂર્ણ થયા બાદ 9 મી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જાહેર થનાર છે. 4 નવેમ્બરે શરૂ થયેલ SIR દરમિયાન અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકની 69.96 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કુલ 11.66 લાખ મતદારો પૈકી 8.07 લાખ મતદારોના ફોર્મ ભરાઈને પરત આવી ગયા છે અને એન્ટ્રી થઈ ચૂકી છે. 4 ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોઈ આગામી 10 દિવસમાં ખેડબ્રહ્મા વિધાનસભામાં કે જ્યાં 63- 64 ટકા કામગીરી થઈ છે અને વિષમ ભૌગોલિક સ્થિતિને કારણે સમસ્યા આવી રહી છે તે વિસ્તારોમાં તંત્ર દ્વારા ધ્યાન કેન્દ્રિત કેન્દ્રિત કરાયું છે. કોઇ નાગરિકે ગભરાવવાની જરૂર નથીચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર કોઈ નાગરિકે ગભરાવાની જરૂર નથી. જૂની વિગતો મળતી ન હોય તો હાલ ઉપલબ્ધ માહિતી ભરીને ફોર્મ જમા કરાવી શકે છે. જેનું ફોર્મ પરત જમા નહીં થાય તેના માટે જ સમસ્યા સર્જાઈ શકે છે. મૃત્યુ સ્થળાંતર સહિતના મતદારોના નામ કમી થનાર છે. 4 ડિસેમ્બર એઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ ચારેય બેઠકના ઈઆરઓ દ્વારા ફોર્મ ચકાસણી કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે. ત્યારબાદ 8 જાન્યુઆરી સુધીમાં મતદાર યાદીમાંથી કમી થયેલ મતદારો પોતાનું નામ દાખલ કરાવવા દાવો કરી શકશે.
નવી દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ પરથી ધ્રાસકો લેતાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં મોટી અકસ્માતી આગ, વિસ્ફોટ, રસાયણ અને સિલિંડર બ્લાસ્ટ અને તેમાં વધુ પ્રમાણમાં જાનમાલ હાનિ થઈ હોય તેની પાછળ આતંકવાદી કૃત્ય તો જવાબદાર નથી ને તેની ફેરતપાસ કરવાનો અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઘટનાઓને દુર્ઘટના તરીકે માનવામાં આવી હતી, પરંતુ તેની પાછળ રાષ્ટ્રવિરોધી અથવા આતંકવાદી તત્ત્વો સંકળાયેલાં છે કે કેમ તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્ર પોલીસે નવી દિલ્હીમાં લાલ કિલ્લા નજીક 15 જણનો ભોગ લેનારી કાર બ્લાસ્ટની ઘટનાને ધ્યાનમાં લેતાં પ્રતિબંધાત્મક પગલાં તરીકે શહેરોના પોલીસ કમિશનરો અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટો સહિત સર્વ યુનિટ્સના ઈન-ચાર્જ અધિકારીઓને આ સૂચનાઓ જારી કરવામાં આવી છે.તેમને છેલ્લાં ત્રણ વર્ષમાં અનેકનો ભોગ લેવાયો હોય તેવી અકસ્માતી આગ, વિસ્ફોટ, રસાયણ અને સિલિંડર બ્લાસ્ટની ફેરતપાસ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે કાર બ્લાસ્ટ અને શ્રીનગર પોલીસ દ્વારા વ્હાઈટ કોલર મોડ્યુલનો પર્દાફાશ કર્યા પછી સલામતી એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું કે વિવિધ સોશિયલ મિડિયા મંચો થકી યુવાનોને ઓનલાઈન ઉગ્રવાદ તરફ દોરનાર પર દેખરેખ રાખવામાં આવશે. પોલીસની સોશિયલ મિડિયા પાંખો એલર્ટ પર છે અને શંકાસ્પદ નાગરિકો પર નજર રાખવામાં આવશે.પોલીસોને ઓનલાઈન ઉગ્રવાદી જૂથો વિશે માહિતી ભેગી કરવા અને પીએફઆઈ, સિમી અને એસડીપીઆઈ જેવા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓના માજી સભ્યોની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. આ વ્યાપક સૂચનાઓ પછી બાંધકામ સ્થળના કર્મચારીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવાનું શરૂ કરાયું છે. ખાસ કરીને અનધિકૃત રીતે ભારતમાં વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો અથવા રાષ્ટ્રવિરોધી તત્ત્વોને ઓળખવા અને તેમને પકડી પાડવાનો આ પાછળનો ઉદ્દેશ છે.
મહારાષ્ટ્રમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાયુતીની એકતા ઉપરછલ્લી જણાઈ રહી છે આ ચૂ઼ંટણી મુખ્યત્વે દરેક પક્ષોના પાયાના કાર્યકરો માટે મહત્વની છે. કારણ કે, તેમને ચૂટણી જંગમાં લડવાનો મોકો અને તક હોય છે, પરંતુ અનેક જીલ્લાઓમાં જમીની સ્તરના કાર્યકરો વચ્ચે મહાયુતીની અંદર જ તાલમેળ ન હોવાથી કાર્યકરો નારાજ થયા છે, આ કડીમાં સાતારા જિલ્લાના નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે અપેક્ષાથી વધુ ગૂંચવણ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. જાહેર નિર્માણ મંત્રી શિવેન્દ્રરાજે ભોસલે અને સાંસદ ઉદયનરાજે ભોસલે એકત્ર આવીને મહાયુતીનું એકતાવાળું ચિત્ર ઉભું કરતા દેખાયા, પરંતુ જમીનસ્તરે સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે. બંને રાજેઓની સહમતી હોવા છતાં તળસ્તરના જૂના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વર્ષો સુધી પક્ષ માટે મહેનત કરનારા અનેક કાર્યકર્તાઓએ ટિકિટ ન મળવાના રોષે બંડખોરીનો માર્ગ અપનાવ્યો છે, અને સત્તાવાર ઉમેદવારો સામે જ અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી છે. મહાયુતીનું જોડાણ ઉપરછલ્લુ અને માત્ર કાગળ પરનું હોવાનું પાયાના કાર્યકરોના રોષમાંથી સ્પષ્ટ ઝાંખી થાય છે. ભાજપ દ્વારા નવા લોકોને સ્થાન આપીને ટિકિટો ફાળવતાં જૂના કાર્યકર્તાઓની નારાજગી બહાર આવી છે. કેટલાક કાર્યકર્તાઓએ ઉભા રહી મીડિયા સમક્ષ વર્ષો સુધી રાજેઓ પાછળ દોડ્યા, પરંતુ સમય આવ્યો ત્યારે અમને ભૂલ્યા એવા આક્ષેપો કરતા, સંગઠનના આંતરિક વિવાદો બહાર લાવી દીધા છે. આ કારણે મહાયુતીની એકતા માત્ર દેખાવ પૂરતી રહી હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું છે. સાતારા, કરાડ, મલકાપુર, વાઈ, મિલકતણ, મહાબળેશ્વર, પાચગણી, મ્હસવડ, રહિમતપુર અને મેઢા નગરપંચાયતમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પરંતુ અનેક જગ્યાએ મહાયુતીના ઘટક પક્ષો ભાજપ, રાષ્ટ્રવાદી (અજિત પવાર ગટ) અને શિવસેના (શિંદે ગટ) એકબીજા સામે જ ચૂ઼ંટણી જંગમાં ઊતર્યા છે. વાઈમાં એનસીપી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે ફળતણ, રહિમતપુર જેવી જગ્યાએ તો મહાયુતીના જુદા જૂથો સામસામે આવી ગયા છે.
ભાસ્કર વિશેષ:‘ધર્મ ગમે તે હોય, એનાં મૂળિયાં સનાતનમાં છે, એટલે મૂળ પકડી રાખો’
ઈંગ્લૅન્ડમાં 1993થી સનાતન ધર્મના પ્રચાર-પ્રસારનું ભગીરથ કાર્ય કરતા રાજરાજેશ્વર ગુરુજી ભારતની મુલાકાતે છે. હરિદ્વારમાં સનાતન પીઠના સ્થાપના પ્રસંગમાં ઉપસ્થિત રહીને ગુજરાત આવેલા ગુરુજીએ સોમવારે જગન્નાથ મંદિરની ભગવાનનાં દર્શન કર્યાં હતાં. ગુરુજી વતન વાગલધરા (વલસાડ)માં એક સપ્તાહ રોકાઈને પરત જશે. રાજરાજેશ્વર ગુરુએ સનાતન ધર્મ, સંતસમાગમ, આસ્થા અને તર્ક, ધર્માંતરણ, સનાતન તહેવારોની વગોવણી વિશે સાથે વિસ્તૃત વાત કરી હતી. સનાતન ધર્મ એ સૂર્ય સમાન છે અને જે રીતે સૂર્યનાં અનેક કિરણો હોય છે એમ સનાતન ધર્મમાં પણ અનેક ગુરુ, અનેક સંત છે. કહેવાનો અર્થ છે, તમે કોઈ પણ ગુરુના શરણે જાઓ પણ જ્ઞાન તો એ જ મળશે, જે સનાતન ધર્મમાં રહેલું છે. સનાતન એટલે સરળતા, સભ્યતા. એવી સંસ્કૃતિ જે ક્યારેય કાંઈ લેતી નથી, માત્ર જ્ઞાન આપે છે. વિજ્ઞાન અને શાસ્ત્રોનું મનોમંથન કરવું એ સનાતન ધર્મ છે. સનાતન ધર્મ સરળ છે એટલે એમાં ગુરુના વિકલ્પો પણ મળે છે, જે બીજા ધર્મ, સંપ્રદાયોમાં નથી મળતી. સૂર્યદર્શન સુલભ પણ સંતદર્શન નહીંસંતો-ગુરુજનો સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી મળી શકે એ વધુ યોગ્ય છે પણ ઘણી વાર ઘણા ધર્મગુરુ વિશે એવું કહેવાય છે કે સૂર્યદેવનાં દર્શન થઈ જાય પણ ધર્મગુરુનાં ન થઈ શકે. સનાતનમાં ગુરુ પરંપરા છે, ગાદી પરંપરા છે પરંતુ કેટલાક સ્વઘોષિત પણ છે અને એ સ્વઘોષિત ગુરુ પોતાના નીતિ-નિયમો બનાવતા હોય છે એટલે આ સ્થિતિ સર્જાય છે. પટ્ટશિષ્ય પછી શિષ્ય અને છેલ્લે ગુરુ કે સંતનો ભેટો થાય એ આ રીતે યોગ્ય નથી પરંતુ સંતોએ ‘ફિલ્ટર’ રાખવું હોય તો ક્યાં અને કોની આગળ, એ સમજવું અગત્યનું છે. ગુરુ કી નહીં માનતે, વો ગધે કી માનતે હૈંઆપણા ધર્મમાં, શાસ્ત્રોમાં ગુરુને ઈશ્વર કરતાં પણ વિશેષ સ્થાન અપાયું છે. કારણ કે ભક્તને ઈશ્વર સમીપ લઈ જવાનું કાર્ય ગુરુ કરે છે. ગુરુનાં વચનો, ઉપદેશો અને આદેશો માનવા એ આપણું આસ્થાકર્મ છે પણ એમાં જો તર્કબુદ્ધિ વાપરીએ તો આસ્થાનો લોપ થાય છે અને એને કારણે ધર્મોપદેશનું મહત્ત્વ જોખમાય છે. ‘એક દંપતી ગુરુ પાસે ગયું. પતિને શ્રદ્ધા નહોતી પણ પત્નીને ઘણી હતી. ગુરુએ 2 દિવસ રોકાઈ જવા કહ્યું પણ પતિ ન માન્યો અને બંને આશ્રમેથી નીકળી ગયા. રસ્તામાં બિલાડી મળી એટલે પત્નીએ અપશુકન થયાનું કહ્યું. પતિ ન માન્યો. આગળ જતાં પાડો, કૂતરો અને છેલ્લે ગધેડો મળ્યો. પત્નીએ આ વખતે પણ ચેતવ્યા એટલે બંને પાછા આવ્યા. ગુરુએ પાછા આવવાનું કારણ પૂછ્યું તો કહ્યું, રસ્તામાં ગધેડો મળ્યો એટલે પાછા આવ્યા. ત્યારે ગુરુએ કહ્યું કે જો ગુરુ કી નહીં સૂનતે વો ગધે કી સૂનતે હૈં.’ અર્થાત્ તર્કબુદ્ધિ વાપરીને ગુરુઆજ્ઞાની અવગણના કરવાથી છેલ્લે પસ્તાવું પડતું હોય છે. (આશિષ અજિતરાય આચાર્ય સાથેની વાતચીતને આધારે)
ભાસ્કર બ્રેકિંગ:દ્વારકાથી મથુરા સુધી ભગવા ધર્મયાત્રા થશે, 2030 સુધી જન્મભૂમિ મંદિર માટે સંકલ્પ
ભારતભરના સનાતન સમાજ દ્વારા દ્વારકાથી મથુરા સુધી વિશાળ પદયાત્રા સ્વરૂપે ‘ભગવા ધર્મયાત્રા’ યોજાવાની તૈયારી શરૂ થઈ છે. આયોજકો મુજબ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ખાતે 2030 સુધી મંદિર કાર્ય પૂર્ણ થાય, તે માટે રાષ્ટ્રવ્યાપી એકતા અને જાગૃતિ લાવવાનો છે. ભગવા સેના ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ દાદાસાહેબ કમલભાઈ રાવલના જણાવ્યા મુજબ યાત્રામાં ત્રણ વિશેષ રથ સામેલ રહેશે, આ યાત્રા 3 રથમાં બિરાજમાન રૂપે થશે. દ્વારકાધીશ રથ, જગદ્ગુરુ આદી શંકરાચાર્ય રથ, જેમાં રાષ્ટ્રીય ગૌમાતા અને ભગવા ધ્વજ, અખંડ હિંદુ રાષ્ટ્ર રથ, જેમાં મહાભારતમાં દર્શાવેલ વિરાટ સ્વરૂપની પ્રતિમા યાત્રાના બીજા મોટા સંકલ્પ મુજબ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળવો જોઈએ. ગૌચર જમીનનું રક્ષણ, ગૌવંશ માટે કડક કાયદા તથા રાષ્ટ્રીય સ્તરે એકસરખી ગૌરક્ષા નીતિ ઘડવાની માંગ સાથે યાત્રા આગળ વધશે. આ યાત્રાની રાષ્ટ્રીય જાહેરાત જાન્યુઆરીમાં થશે. દેશના અનેક સંતો, મહામંડલેશ્વરો અને સનાતન સંગઠનોને જોડાવા આમંત્રણ મોકલાઈ ચૂક્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ આ યાત્રા શાંતિપૂર્ણ, નિયમિત અને સામાજિક- ધાર્મિક સંકલ્પ પર આધારિત રહેશે. યાત્રાનાં મુખ્ય લક્ષ્યો ત્રણ પવિત્ર રથની વિશેષતા ગૌમાતા મુદ્દો કેમ મહત્ત્વનો?
ઇન્ટરનેશનલ બુક ફેર:9 સ્પર્ધામાં 27 વિદ્યાર્થી વિજેતા, માત્ર1 જ વિદ્યાર્થી ખાનગી શાળા માંથી
ઇન્ટરનેશનલ બુક ફેરમાં સ્કૂલના બાળકો માટે કુલ 9 સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ કેટેગેરીમાં 27 વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. રસપ્રદ વાત એ હતી કે, સ્પર્ધાઓમાં તમામ વિજેતા સરકારી પ્રાથમિક સ્કૂલોના જ થયા હતા, જ્યારે કે માત્ર એક જ વિદ્યાર્થી ખાનગી સ્કૂલ માંથી છે. આ સ્પર્ધામાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની ખાનગી સ્કૂલોના બાળકો પણ જોડાયા હતા. બુક ફેરમાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને રૂ. 1 હજાર પ્રોત્સાહન રાશી અપાઇ હતી. પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થાઓને 31 હજાર, બીજા ક્રમે આવનારાને 21 હજાર અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને 11 હજાર ઇનામ આપવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ બુક ફેરમાં વિદ્યાર્થીઓમાં ઇત્તર પ્રવૃત્તિનું પણ આયોજન કરાયું હતું. જેમાં ક્વિઝ, ગાન સ્પર્ધા, વાર્તા કથન, ફોટોગ્રાફી સ્પર્ધા, વેશભુષા, પેનલ ડિસ્કશન, વત્કૃત્વ સ્પર્ધા સહિતની દરેક સ્પર્ધામાં 3 વિજેતા વિદ્યાર્થીઓને જાહેર કરાયા હતા. સરકારી શાળાઓમાં ઇત્તર પ્રવૃત્તિ પર વધુ ભાર અપાય છેસરકારી સ્કૂલોમાં અભ્યાસની સાથે ઇત્તર પ્રવૃત્તિઓમાં વિશેષ ભાર અપાય છે. ઉપરાંત નવી સ્કૂલો ડેવલપ કરાતાં નવા સંગીતના સાધનોનો પણ વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે છે. શિક્ષકોની ભરતીમાં પણ સંગીતના શિક્ષકોની અલગથી ભરતી થાય છે, જેથી વિદ્યાર્થીઓને ઇત્તર પ્રવૃત્તિમાં વધારે રસ પડે છે. જેથી વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ મળી રહે છે. જેને કારણે શહેર કક્ષાની સ્પર્ધાઓમાં સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યાં છે. - ડો. એલ.ડી દેસાઇ, શાસનાધિકારી
MMCJ વિભાગમાં પરીક્ષામાં છબરડો:મંગળવારનું પેપર સોમવારે જ આપી દીધું, ભૂલ સમજાતા પેપર પરત લઇ લેવાયું
ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (MMCJ) વિભાગના પેપરમાં છબરડો જોવા મળ્યો હતો. ત્રીજા સેમેસ્ટરમાં સોમવારે મિડીયા રિસર્સનું પેપર હતું, જેના સ્થાને સ્ટડી ઓન ગ્રેટ્સનું આપી દેવાયું હતું. પરીક્ષા કમિટી અને વિભાગીય ફેકલ્ટીઓની ભુલને કારણે સ્ટડી ઓફ ગ્રેટ્સનું પેપર મંગળવારને બદલે સોમવારે જ આપી દેવાયું હતું. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પરીક્ષામાં નક્કી કરેલા સમય પત્રક મુજબનું પેપર ન આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. આ પેપર પરીક્ષાખંડમાં આગળ બેઠેલા બે-ત્રણ વિદ્યાર્થી ને જ અપાયું હતું, અને વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરનુ ધ્યાન દોર્યુ હતું. સુપરવાઇઝરને ભુલ સમજાતા પ્રશ્નપેપર પાછુ લઇ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ વિભાગના અન્ય પ્રોફેસર તેની જાણ કરતા મીડિયા રિસર્ચનું પેપર અપાયું હતું. આ કારણે પેપરમાં 40 થી 45 મિનીટ મોડું થયું હતું. જો કે પેપર પૂરું કરવા માટે વિદ્યાર્થીઓને વધારાનો એક કલાકનો વધુ સમય અપાયો હતો. જો કે આ બાબતે જર્નાલિઝમનાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટના અધ્યાપીકા સોનલ પંડ્યાએ જણાવ્યું કે, આ તપાસનો વિષય છે અને આગળ આવું ન થાય તેની સંપુર્ણ તકેદારી રાખવામાં આવશે. મંગળવારે લેવાનું પેપર સોમવારે આપી દેવાયું હોવાથી સ્ટડી ઓફ ગ્રેટ્સનું પેપર ફરી વાર તૈયાર કરવામાં આવશે. સમગ્ર મુદ્દે વિદ્યાર્થી સંગઠન દ્વારા પેપર સેટર અને પરીક્ષા કમિટીના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાની માગ કરાઇ હતી.
ભાસ્કર એક્સક્લૂસિવ:સ્કિન, હાર્ટ વાલ્વ, ટિસ્યુની નોંધણી માટે સરકાર સૉફ્ટવેર વિકસાવશે
ગુજરાતમાં ઓર્ગન ડોનેશન પ્રોગ્રામને વધુ પારદર્શક અને વિશ્વાસપાત્ર બનાવવા રાજ્ય સરકાર ગતિશીલ બની છે. શનિવારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) વચ્ચે હાઈલેવલ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઓર્ગન ડોનેશન એક્ટની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને ખાસ કરીને પારદર્શકતા વધારવા પર વિશેષ ભાર મૂકાયો હતો, જેથી કિડની, લિવર અને હૃદયની પ્રતિક્ષામાં રહેલા દર્દીઓને પોતાનો વેઇટિંગ નંબર સ્પષ્ટ રીતે જાણી શકાય. સરકાર સ્કિન, હાર્ટ વાલ્વ, ટિશ્યુ, બોન અને પેરીકાર્ડિયમની રજીસ્ટ્રી માટે અદ્યતન સોફ્ટવેર ડેવલપ કરવાની દિશામાં આગળ વધી રહી છે. અત્યાર સુધી ટિશ્યુ માટે રીજનલ સેન્ટરોની વ્યવસ્થા હતી, પરંતુ નવી ટેકનોલોજીના માધ્યમથી રજીસ્ટ્રેશન અને વિતરણની સુવ્યવસ્થિત સિસ્ટમ ઉભી કરવા યોજના છે. મહત્વનું એ છે કે, ઓર્ગનની પ્રતિક્ષામાં રહેલા દરેક દર્દીને સિસ્ટમ પ્રત્યે વિશ્વાસ અને પારદર્શકતાની અપેક્ષા હોય છે. દર્દીઓના હિતને આધારિત રહી કાયદામાં જરૂરી સુધારાઓ કરવા અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગને મળેલા સૂચનોના આધારે આગામી દિવસોમાં સુધારાઓ અમલમાં આવશે. જેમાં ઓર્ગન એલોકેશન એપ્લિકેશન બનાવવી, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને પોઈન્ટ સિસ્ટમમાં પારદર્શકતા લાવવી તથા દર્દી પોતાનો વેઇટિંગ નંબર જોઈ શકે તેવા ઈન્ટરફેસની વ્યવસ્થા ઉભી કરવી જેવા મુદ્દાઓ સામેલ છે. આ પ્રથમ બેઠકમાં એક્ટનું રિવ્યુ પૂર્ણ થયું છે અને હવે સૂચનોના આધારે સુધારાની પ્રક્રિયા હાથ ધરાશે. કિડની ફેલ્યોર દર્દી માટે એ.વી. ફિશ્યુલા જરૂરી, પણ વેઈટિંગ લાંબુ હોય છેકિડની ફેલ્યોર દર્દીનું ડાયાલિસિસ શરૂ કરતાં પહેલાં હાથમાં એ.વી. ફિશ્યુલા સર્જરી દ્વારા બનાવવામાં આવે છે, જેથી દર્દીને ડાયાલિસિસ મશીન સાથે જોડી શકાય. ડાયાલિસિસ અગાઉની આ ફરજિયાત પ્રક્રિયા માટે 15 દિવસ જેટલું વેઇટિંગ લિસ્ટ રહે છે. ફિશ્યુલા વહેલી તકે તૈયાર થાય તો દર્દીનું જીવન સુરક્ષિત કરી શકાય. સરકારી હોસ્પિટલમાં ફિશ્યુલા તૈયાર કરવાનો ખર્ચ આશરે પાંચ હજાર છે જ્યારે ખાનગીમાં તેનો ખર્ચ 30 હજાર થઈ જતો હોય છે. ઓર્ગન વેસ્ટ ન થાય તેના પર વિશેષ ભારઓર્ગન ડોનેશન પોલિસી મુજબ કેડેવર ઓર્ગનના વિતરણ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલો વચ્ચે વહેંચણીની નિયમિત વ્યવસ્થા છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં દૂરના સેન્ટરનો વારો આવ્યા પછી પણ વિવિધ કારણોસર ઓર્ગન પ્રાપ્ત કરી શકાતું નથી, જેના કારણે ઓર્ગન વેસ્ટ થવાની શક્યતા વધી શકે છે. આવી પરિસ્થિતિમાં કિડની ઈન્સ્ટિટ્યૂટે ઓલ્ટરનેટ મેકેનિઝમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે, જેથી દાનમાં મળેલું કિંમતી ઓર્ગન વેડફાઈ ન જાય.
29 લાખના ખર્ચે 4 સેક્ટરમાં કામ થશે:સરકારી આવાસના ડ્રેનેજ જોડાણ પાટનગર યોજના વિભાગ આપશે
શહેરમાં મેઇન ડ્રેનેજ લાઇનનું મોટાભાગનું કામ પૂરું થયું છે. હવે ઘર જોડાણ આપવાનું કામ શરૂ થવાનું છે. પાટનગર યોજના વિભાગે સેક્ટર 22, 23, 28 અને 29માં આવેલા સરકારી આવાસોને ગટર જોડાણ આપવા તજવીજ હાથ ધરી છે. આ વિસ્તારોમાં નવું માળખું તૈયાર થશે છતાં ઘરના જોડાણ નહીં અપાય તો ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત રહેશે. ત્રણ વર્ષ પહેલાં સ્માર્ટ સિટી યોજના હેઠળ પાટનગરના સેક્ટર વિસ્તારમાં 24 કલાક પાણી અને ગંદા પાણીના નિકાલ માટે નવું નેટવર્ક બનાવવાની રૂ. 250 કરોડની યોજના મંજૂર થઈ હતી. કામમાં ભારે વિલંબ થયા બાદ આ યોજના હેઠળ કામગીરી હાલ અંતિમ તબક્કે પહોંચી છે. મુખ્ય માર્ગો પાસે મેઇન લાઇનનું કામ પૂરું કરવા 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. નિયમ મુજબ ઘરમાલિકે પોતાના ખર્ચે જોડાણ કરવાનું હોય છે. પરંતુ મહાનગરપાલિકાએ ખાનગી આવાસોમાં જોડાણ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે શહેરમાં આવેલા સરકારી આવાસોની જવાબદારી પાટનગર યોજના વિભાગની બનતી હોવાથી તેણે આ માટે કવાયત શરૂ કરી દીધી છે. આ કામ માટે રૂ. 29.10 લાખનો ખર્ચ કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પુરી થયા બાદ દરેક સરકારી આવાસને ડ્રેનેજની મેઇન લાઇન સાથે જોડાણ અપાશે.
ભાજપે બિહારની ચૂંટણીના વિજયની ઉજવણી પૂરી કરી અને બંગાળ, તામિળનાડું તરફ કૂચ કરવા સંકલ્પ કર્યો છે, પણ ગુજરાતમાં હાલ પક્ષની આંતરિક સ્થિતિ આદર્શ રહી નથી. જૂથવાદ, નેતાઓની નબળી કામગીરી અને મતદારોમાં પ્રવર્તી રહેલા મુંઝારાની સ્થિતિ વચ્ચે ભાજપના હાઇકમાન્ડે પક્ષના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષને બે દિવસના ગુજરાત પ્રવાસે મોકલ્યા છે. સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર અને મંગળવારે ઉત્તર અને મધ્ય ગુજરાતની સ્થિતિને લઇને સંતોષ રાજકીય સરવે કરી રહ્યા છે. પ્રથમ દિવસે રાજકોટમાં યોજાયેલી બેઠકમાં તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છના સાંસદો, ધારાસભ્યો, મેયરો, જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ તથા સંગઠનના નેતાઓ મળીને કુલ 170 વ્યક્તિઓની સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક તબક્કે જ સૌરાષ્ટ્રમાં ઓલ ઇઝ વેલ જેવી સ્થિતિ નહીં હોવાનું સંતોષે પારખી લીધું હતું. હાલ ગુજરાત ભાજપમાં નવા સંગઠન પ્રમુખ અને નવા મંત્રીઓની કામગીરીની પણ તેમણે એક રીતે સમીક્ષા કરી હતી. તેમણે રાજકોટમાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવાર સાથે 25 મિનીટ માટે બેઠક કરી હતી. તે પછી વાત સામે આવી રહી છે કે, ભાજપ આગામી દિવસમાં રૂપાણીનાં પત્ની અંજલિ કે પુત્ર ઋષભને સક્રિય કરશે. જો કે, અંજલિ રૂપાણીએ એટલું જ કહ્યું હતું કે અમે પાર્ટીના કાર્યકર તરીકે પક્ષ જે જવાબદારી સોપશે તે સ્વીકારીશું. સંતોષની મુલાકાત ભાજપ માટે ખૂબ જરૂરી, ગુજરાતમાં ‘ઓલ ઇઝ વેલ’ નથી હાલ રાજકોટ ભાજપમાં સંગઠનના જૂના અને નવા નેતાઓ વચ્ચે આપસી ટકરાવ ચરમસીમાએ છે. અલગ-અલગ જૂથોમાં વહેંચાયેલું રાજકોટ ભાજપનું સંગઠન હાલ ખટરાગનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિ જોતાં આગામી સમયમાં આવી રહેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટું નુક્સાન સહન કરવું પડે તેમ હોવાથી સંતોષે આ ખટરાગ ટાળવા અંજલિ રૂપાણીની મધ્યસ્થતા માગી હોઇ શકે છે. આ મુલાકાત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને બહાર રખાયા હતા જે સૂચવે છે કે અંજલિ રૂપાણી તેમની હાજરીમાં કોઇ ચર્ચા કરવા માંગતાં ન હતાં. ગુજરાતભરમાં હાલ ઘણાં કારણસર લોકોમાં એન્ટિ ઇન્કમ્બન્સીની અસર છે અને તે ભાજપને આવતી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નડી શકે છે. જો આ અસર વધુ ચાલે તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપની કુલ બેઠકો હાલની 162માંથી ઘણી ઘટી જાય તેવું બને. આ સમસ્યાનું સમાધાન શોધવા સંતોષનું ગુજરાત આવવું જરૂરી છે. ગુજરાત ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે. તેમણે હજુ પોતાનું પ્રદેશ માળખું નવું બનાવ્યું નથી. આ સિવાય જિલ્લા-શહેર સંગઠનોમાં પ્રમુખ સિવાયની બાકીની ટીમ માટે પણ કવાયત ચાલી રહી છે. સંગઠનમાં બધાં પદ પર ચોક્કસ જૂથના લોકો જ ગોઠવાઇ ન જાય તે માટે પણ સંતોષ આ બાબતનો કોઇ રસ્તો શોધી શકે છે. અંજલિ રૂપાણીની સ્થિતિ જાગૃતિ પંડ્યા જેવી થશે? રૂપાણી જૂથનો સળગતો સવાલસંતોષ અને રૂપાણી પરિવાર વચ્ચેની બેઠક બાદ આવતા સમયમાં સંગઠનમાં અથવા તો ચૂંટણીના રાજકારણમાં તેમનાં પત્ની અંજલિ અથવા ઋષભને સક્રિય કરવાની વાતો ચાલી રહી છે. પરંતુ રૂપાણી જૂથના કેટલાંક ભાજપ નેતાઓ સવાલ કરી રહ્યા છે કે, અંજલિ રૂપાણીની સ્થિતિ ભાજપમાં સ્વર્ગસ્થ હરેન પંડ્યાનાં પત્ની જાગૃતિ પંડ્યા જેવી થશે કે કેમ. જાગૃતિ પંડ્યાને રૂપાણી સરકારમાં જ મહિલા અને બાળ વિકાસ નિગમમાં અધ્યક્ષા બનાવાયાં હતાં પરંતુ એક જ વર્ષમાં તેમની ટર્મ પૂરી થયાં બાદ હાલ તેઓ સક્રિય રાજકારણથી ખૂબ દૂર છે. આ જ રીતે અંજલિ રૂપાણીને કોઇ પદ આપીને પછી તેમને ભૂલી જવાશે તેવો તર્ક પણ મુકાય છે.
આત્મહત્યાનો પ્રયાસ:મંત્રીની કચેરી બહાર મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
ગાંધીનગરમાં અવારનવાર અરજદારો રજૂઆત કરવા આવતા હોય છે ત્યારે સ્વર્ણિમ સંકુલ-1-માં ભરૂચથી આવનાર એક શ્રમિક પરિવારની મહિલાએ બિનઆરોગ્યપ્રદ પ્રવાહી ગટગટાવતા દોડધામ મચી ગઇ હતી. આ મહિલાએ કયારે અને કયાં પ્રવાહી ગટગટાવ્યું તેનો કોઇ ઘટસ્ફોટ થયો નથી,પરંતુ મહિલાની તબિયત લથડતા તેને સ્વર્ણિમ સંકુલના બીજા માળેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભરૂચ પાસેના અંકલેશ્વર નજીકના વિસ્તારમાંથી આવતા હિન્દી બોલતુ એક દંપતિ તેમના ત્રણ બાળકો ગાંધીનગરના ર્સ્વણિમ સંકુલ-1ના બીજા માળે બપોરે પહોચ્યું હતુ. તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા,પરંતુ બપોરે 1-30 કલાક આસપાસ મહિલાની તબિયત લથડી હતી. તે અર્ધબેભાન અવસ્થામાં હોય તેવું જણાતું હતુ.આથી તાત્કાલિક બીજા માળે બેંચ પર સુવડાવીને એમ્બયુલન્સ બોલાવાઇ અને તેને હોસ્પિટલ ખસેડાઇ હતી. મહિલાનો પતિ છ મહિનાથી મારા બાળકો સ્કુલે ગયા નથી,ફી ભરવાના પૈસા નથી,અનાજ ઘરમાં નથી,પછી મરીએ નહીં તો શું કરીએ તેવું મહિલાને એમ્બયુલન્સમાં બેસાડતી વખતે બોલતો હતો.
આદેશ:એરપોર્ટ પાસેનાં 46 બિલ્ડિંગનો સરવે, વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં નડતરરૂપ 13 બાંધકામ તોડાશે
એરપોર્ટની આસપાસ વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં અવરોધરૂપ 46 બિલ્ડિંગનો સરવે કરાયો હતો, જેમાંથી 13 બિલ્ડિંગના નડતરરૂપ બાંધકામ હટાવાશે. નાગરિક ઊડ્ડયન મંત્રાલયના સંકલનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) એ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) અમદાવાદની આસપાસ બિલ્ડિંગોની ઊંચાઈના ઉલ્લંઘનને રોકવા માટે કડક અમલીકરણ શરૂ કર્યું છે. વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન અવરોધમાં આવતી બિલ્ડિંગોના છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિયમો અનુસાર અનેક એરોનોટિકલ સર્વેક્ષણો અને સલામતી ઓડિટ હાથ ધરવામાં આવ્યાં છે. આ સર્વેક્ષણો બાદ કેટલાક બાંધકામો અવરોધ મર્યાદા (ઓએલએસ)નું ઉલ્લંઘન કરતાં હોવાનું બહાર આવ્યું હતું. નવેમ્બર 2022ની સમીક્ષા બાદ ડીજીસીએએએ જાન્યુઆરી 2024માં એરક્રાફ્ટ નિયમો 1994 હેઠળ એરપોર્ટની આસાપાસની 46 બિલ્ડિંગોના અંતિમ આદેશ જાહેર કર્યા છે, જેમાં 28 મકાન માલિકોએ આદેશનું પાલન કર્યું હતંુ. જ્યારે ચાર અપીલ હેઠળ છે અને એકને એરોનોટિકલ અભ્યાસ માટે મોકલવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. દ્વારા 13 બિલ્ડિંગોના નડતરરૂપ અવરોધ દૂર કરવાના બાકી છે. અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન ક્રેશ બાદ એરપોર્ટ મેનેજમેન્ટે મ્યુનિ. કોર્પોરેશનને સ્થળની જાત ચકાસણી બાદ જ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન આપવા વિનંતી કરી છે. એકવાર ડીજીસીએએ એરક્રાફ્ટ રૂલ્સ 1937 હેઠળ કોઈ બિલ્ડિંગમાં વધારાનું બાંધકામ અવરોધરૂપ જાહેર કર્યા બાદ તોડી પાડવું ફરજિયાત છે. રેડ ઝોનમાં આવતી બિલ્ડિંગોની ઊંચાઈ માટે એનઓસી લેવું ફરજિયાત છે - એરપોર્ટની 20 કિમી આસપાસ બિલ્ડિંગોના હાઇટ ક્લિયરન્સ માટે nocas2.aai.aero પર અરજી કરી શકાય - કલર-કોડેડ ઝોનિંગ મેપ: રેડ ઝોનમાં આવતી બિલ્ડિંગોને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઊંચાઈ માટે એનઓસી ફરજિયાત. - ઊંચાઈ NOC બેડ ઝોન : અનુમતિપાત્ર ઊંચાઈ કરતાં વધુ કોઈ પણ માળખા માટે ક્લીયરન્સ જરૂરી - રોડ અને રેલવે : જીએસઆર 751 (E)ના નિયમ 4 હેઠળ એરપોર્ટ સીમાઓથી 1 કિમીની અંદરના પ્રોજેક્ટ્સ માટે ઊંચાઈ ક્લિયરન્સ ફરજિયાત છે. - હાઈટેન્શન લાઇન : રનવે એપ્રોચ અને ટેક-ઓફ સપાટીઓના 1,500 મીટરની અંદર EHT/HT લાઇન્સ પ્રતિબંધિત છે.
સારવાર:‘સર’ની કામગીરી સમયે BLOનું બીપી ઘટતાં હોસ્પિટલમાં દાખલ
ગોમતીપુર ઉર્દૂ શાળા નં.1 અને 2 શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સાઈમાબાનું મિલ્લતનગર ખાતે બીએલઓ તરીકે ચૂંટણીની કામગીરી કરે છે. કામના ભારણ વચ્ચે સોમવારે અચાનક સાઈમાબાનુને હાથમાં દુ:ખાવો અને બ્લડ પ્રેશર લો થતાં તેમની તેમની તબિયત બગડતાં શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એસઆઈઆરની કામગીરી કરતાં બીએલઓને વધતી જતી સમસ્યાઓને લઈને કોર્પોરેટર ઈકબાલ શેખે કલેકટરને રજૂઆત કરી હતી કે, વધતા જતાં કામના ભારણના કારણે હાલમાં રાજ્યમાં બીએલઓને હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. જ્યારે એક બીએલઓએ તો આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. તેથી કલેક્ટર તમામ મામલતદારોને આદેશ આપે કે બીએલઓ પર અતિરિક્ત દબાણ કરે નહીં અને માનવતાની દષ્ટિએ કામગીરીમાં તેમને સહકાર આપે. બીએલઓના કાર્યનું અતિરિક્ત ભારણ તરત ઘટાડવામાં આવે, ફોર્મ અપલોડ પ્રક્રિયા સુગમ બનાવવા ટેક્નિકલ સપોર્ટ વધારવામાં આવે તેમજ બીએલઓની સુરક્ષા, માનસિક સ્થિતિને પ્રાથમિકતા આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં પણ દાણીલીમડામાં એક બીએલઓને હાર્ટ એટેક આવ્યો હતો.
ઈન્ફેક્શન કંટ્રોલ સેન્ટર શરૂ:સિવિલમાં ઈન્ફેક્શન ઘટાડવા માટે 16 ટીમ દર મહિને વિભાગોમાં તપાસ કરશે
રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોમાં ઇન્ફેક્શન કંટ્રોલ મજબૂત કરવા નવી પોલિસી જાહેર કરી છે. સિવિલ હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલ બોર્ડની રચના કરાઈ છે. જેમાં 16 કમિટીના 60 સભ્યો વિવિધ વિભાગોમાં સતત મોનિટરિંગ કરશે. આ કમિટીઓ દર મહિને તમામ વોર્ડ, આઈસીયુ, ઓટી, એનઆઈસીયુ અને પીડિયાટ્રિક વિભાગ સહિત અન્ય વિભાગની ચકાસણી કરાશે. સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ કહ્યું કે, તમામ કમિટીઓ દર મહિને રિપોર્ટ આપશે ભૂલ જોવા મળશે તો તરત સુધારા કરાશે. કમિટી ગ્લવ્સ, પેશન્ટ હેન્ડલિંગ સહિતની બાબતોનું ધ્યાન રાખશેગાઇડલાઇન મુજબ 32 મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. તેમાં સ્ટાફની સ્વચ્છતા પ્રેક્ટિસનો કડક અમલ, હાથ ધોવાની સુવિધા અને તેનો નિયમિત ઉપયોગ, ગ્લોવ્સ અને એપ્રન પહેરીને પેશન્ટ હેન્ડલિંગ, કચરાના ડબ્બા હંમેશા બંધ રાખવા, સેમ્પલિંગની ચોક્કસ પ્રક્રિયા અને હોસ્પિટલમાં ઇન્ફેક્શન ફેલાય નહીં તે માટેની જરૂરી તમામ કાર્યવાહીઓનો સમાવેશ થાય છે.
વાતાવરણ:શહેરમાં 14.7 ડિગ્રી સાથે છેલ્લાં 5 વર્ષમાં નવેમ્બરની સૌથી વધુ ઠંડી
અમદાવાદમાં છેલ્લાં પાંચ વર્ષમાં નવેમ્બર સૌથી ઠંડો મહિનો રહ્યો છે. અગાઉ વર્ષ 2020માં નવેમ્બરમાં લઘુતમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું હતું, ત્યાર પછી આ વર્ષે નવેમ્બરમાં ઠંડીનો પારો 14.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જોકે આ વર્ષે નવેમ્બરના પહેલા જ સપ્તાહમાં 10 વર્ષનું સૌથી ઓછું તાપમાન રહ્યું છે. આ વર્ષે 2017 પછી પહેલી વાર તાપમાન સતત નીચે રહ્યું છે. અઠવાડિયાથી લઘુતમ તાપમાન વધ્યું નથી. હવામાન નિષ્ણાત એ. ટી. દેસાઈના જણાવ્યાનુસાર, આકાશ સાફ રહેવું, ભેજ ઓછો રહેવો અને ઉત્તર તરફથી ઠંડા પવન એમ ત્રણ પરિબળને કારણે નવેમ્બરમાં ઠંડીનો પારો ઊંચો જઈ રહ્યો છે. આ કારણે દિવસ દરમિયાન સચવાયેલી ગરમી રાત્રે ઝડપથી બહાર નીકળી જાય છે, જેને રેડિયેશન કૂલિંગ કહે છે. 5 વર્ષમાં નોંધાયેલી ઠંડી વર્ષ લઘુતમ તાપમાન 2025 14.7 2024 15.6 2023 15 2022 19.7 2021 15 2020 12.8
વાતાવરણ:અમરેલી પંથકમાં પારો એક ડિગ્રી ગગડતા ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી
અમરેલી જિલ્લામાં આમ તો છેલ્લા દસેક દિવસથી આખરે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. એક તબક્કે તાપમાન 11 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. પરંતુ બાદમાં ઊંચકાઈને 14 ડિગ્રી થયું હતું. છેલ્લા 24 કલાકમાં પારો એક ડિગ્રી નીચો ગયો છે અને આજે શહેરનું ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં ઠંડી તેનો પ્રકોપ દેખાડી રહી છે. છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. એક રાઉન્ડ જોરદાર આવ્યા બાદ તેમાં આંશિક રાહત મળી હતી. પરંતુ હવે ફરી કડકડતી ટાઢની શરૂઆત થઈ છે. આજે અમરેલી શહેરમાં તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગઈકાલે શહેરનું ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી હતું. આવી જ રીતે મહત્તમ તાપમાન પણ ઘટીને 30.9 ડિગ્રી થયું છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 78% જેટલું ઊંચું હોય ઠાર અનુભવાય રહ્યો છે. શિયાળાની હજુ શરૂઆત છે તેવા સમયે જ અમરેલી પંથકમાં ઠંડી તેનો આકરો મિજાજ બતાવી રહી છે. આવનારા દિવસોમાં આ વિસ્તારમાં ઠંડીનું જોર વધશે. ગીરકાંઠાના વિસ્તારમાં પણ ટાઢોડું છવાયેલું છે જેની અસર જલજીવન પર જોવા મળી છે.
વાતાવરણ:ઠંડીનો પારો 3 દિવસથી 14 ડિગ્રી આસપાસ
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું હતું. રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ હતી. જોકે બપોર દરમિયાન સૂર્યનારાયણ પોતાનો મિજાજ દેખાડતા શેરીજનોને ઠંડીમાંથી રાહત મળી હતી. જામનગરમાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો થતા ઠંડીના જોરમાં પણ ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14 ડીગ્રી અને મહત્તમ તાપમાન 30.5 ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે રાત્રિથી વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ હતી. વહેલી સવાર વાહન ચાલકો અને બાળકોને ગરમ વસ્ત્રામાં ઢબૂરવાની ફરજ પડી હતી. વહેલી સવારે વાતાવરણમાં ઠંડક હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગ ઉપર વાહનો અવર જવારમાં પણ નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો છે જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 5 થી 10 કિ.મી.ની રહેવા પામી હતી. ગત્ બે દિવસમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 13 ટકા ઘટીને 60 ટકા રહ્યું હતું. વહેલી સવારે શહેરમાં ધુમ્મસ જોવા મળી હતી.
હીટ એન્ડ રન:લાખાબાવળના પાટિયા પાસે વેપારીનું મોત
જામનગર શહેરના ભાગોળે ગોવર્ધન ગ્રીન્સ સોસાયટીમાં રહેતા અને પાણી સપ્લાયનો વ્યવસાય કરતા વનરાજસિંહ ભગવતસિંહ રાઠોડ (ઉ.વ.43) નામના વેપારી યુવાન ગત તા.22ના પોતાનું મોટર સાયકલ લઈને ખંભાળીયા હાઈવે પર મોટી ખાવડી તરફ જતા હતા અને લાખાબાવળના પાટીયા પાસેથી પોણા આઠેક વાગ્યે પસાર થતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે વેપારી યુવાનને અડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડીને નાશી છુટ્યો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. બનાવ અંગેની જયરાજસિંહ રાઠોડએ પોલીસને જાણ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. એલ. કાગળીયાએ મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.
RTOને 18 નંબરમાં 20.15 લાખની આવક:કારમાં 1111 નંબર માટે રૂા. 15.03 લાખ ખર્ચ્યા
જામનગરમાં પોતાના વાહનમાં મનપસંદ નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. ત્યારે ફોર વ્હીલરમાં મનપસંદ નંબર મેળવવા માટે ગોલ્ડન-સીલ્વર નંબર માટેના યોજાયેલા રી-ઓકશનમાં 1111 નંબરના રૂ.15.03 લાખ બોલાયા છે. જ્યારે અન્ય નંબરો મળીને કુલ 18 નંબરોના આરટીઓને રૂ. 20,15,000ની આવક થઈ હતી. જામનગર આર.ટી.ઓ કચેરી દ્વારા વાહન ચાલકોને પોતાના મનપસંદના નંબર મેળવવા માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાં બાકી રહી ગયેલા નંબરો માટે રી-ઓક્શન હાથ ધરવામાં આવે છે. ત્યારે હાલ ફોર વ્હીલરમાં ચાલતી GJ-10 EH સીરીજ માટેના ગોલ્ડન અને સીલ્વર નંબરો માટેની રી-ઓક્શન હાથ ધરાયું હતું. જેમાં 1111 નંબર માટે સૈયથસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ રૂ.15,03,000 તો 0333 માટે દક્ષાબેન પૃથ્વીસિંહ જાડેજાએ રૂ.1,33,000 અને 0027 નંબર માટે વિક્રમ સોલંકીએ રૂ.65 હજાર ચુકવ્યા હતા. આ સહિત 18 વાહન ચાલકોએ પોતાના વાહનમાં મનપસંદ નંબર મેળવવા માટે રૂ.20,15,000 ચુકવ્યા હતા. હાલ તો આરટીઓને ગોલ્ડન અને સીલ્વર નંબરના લાખો રુપિયાની આવક થઈ છે.
વિરોધ:BLOની કામગીરીના મુદ્દે NSUI, યુવક કોંગ્રેસનો વિરોધ, 10ની અટક
જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ સહિતના વિકાસ કામોના ખાતમુહુર્ત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમન પહેલા જ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરોના સુત્રો અને બેનરો પહેરીને અનોખો ઉગ્ર વિરોધ કરી દેખાવો કરતા પોલીસે 10ની અટકાયત કરી છે. મતદારયાદી ખાસ સુધારણા (એસઆઈઆર)ની કામગીરીમાં બીએલઓ તરીકે શિક્ષકોને મુકવામાં આવ્યા છે. જે અંગેનો ઉઠતા વિરોધ વચ્ચે આજે જામનગર શહેરમાં મુખ્યમંત્રીના આગમન પહેલા જ ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, મહામંત્રી પ્રવિણભાઈ વણોલ, રવિભાઈ જીત્યા અને ઓલ ઈન્ડિયા યુવક કોંગ્રેસના મંત્રી પવનભાઈ મજીઠીયાની તેમજ જામનગર શહેર યુવક કોંગ્રેસ ગુજરાત યુવક કોંગ્રેસના મહામંરી શક્તિસિંહ જેઠવા, ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, જાવીદભાઈ ખફી સહિતની આગેવાનીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં વિધાર્થીએના ભવિષ્ય સાથે ચેડા બંધ કરો., બોર્ડ ની પરીક્ષા નજીક છે અને વર્ગખંડ શિક્ષક વગરના છે. જે એસઆઇઆર એ કામગીરી ના ભારણ થી આત્મહત્યા કરી છે તેને યોગ્ય વળતર આપવા માં આવે. તેવી અનેક માંગ સાથેના બેનરો પહેરીને દેખાવો કર્યા હતા. સવારે શહેરના ડી. કે. વી. સર્કલ ખાતે 9:30 વાગ્યે વિરોધ પ્રદર્શન કરાી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં જ સીટી બી ડિવિઝનના પીઆઈ પી.પી.ઝા સહિતનો પોલીસ સ્ટાફ પહોંચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન કરતા 10 કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂ.268 કરોડના ખર્ચે હસ્તગત કરાયેલા કુલ 216 ગાર્બેજ કલેક્શન વાહનોનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું. આ વાહનો જામનગર શહેરના 1 થી 16 વોર્ડમાં કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવશે. આ વાહનો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન ઉપરાંત શહેરના ઓપન પોઈન્ટ્સ અને સિલ્વર બીન્સમાંથી કચરો એકઠો કરવામાં આવશે, જે કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી કલેક્શન અને નિકાલની પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવશે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલ આ 268 કરોડ રૂપિયાનો પ્રકલ્પ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ વિકાસ છે અને તે જામનગર શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં મદદરૂપ થશે. સાથે જ નાગરિકોના જાહેર સ્વાસ્થ્યને પણ સુધારશે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગ આપવા બદલ જામનગર મહાનગરપાલિકાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આત્મહત્યા:ભારાણામાં કિશોરનો અકળ કારણોસર ફાંસો
દેવભુમિ જિલ્લાના ભારાણા ગામમાં 16 વર્ષના કીશોરે અકળ કારણોસર ફાંસો ખાઈને જીંદગી ટુંકાવી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભારાણા ગામમાં નવા પાડામાં રહેતા રોહીત રમણીકભાઈ ચાવડા (ઉ.વ.16) નામના કીશોરે ગત તા.21ના રોજ પોતાના મોટાબાપુ કરશનભાઈ કારાભાઈ ચાવડાના મકાનની બારીમાં ફારીયુ બાંધીને ગળાફાંસો ખાઈ લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની મૃતકના ભાઈ આનંદભાઈ રમણીકભાઈ ચાવડાએ પોલીસમાં જાહેર કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એચ. દેથરીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પરિવારજનોમાં શોકની લાગણી:લાલપુરમાં વાડીમાં ખેડૂતને વીજશોક, મૃત્યુ
લાલપુરના ખારા વિસ્તારમાં આવેલી વાડીએ પાકમાં પાણી પીયત કરતા ખેડુતને વાડીના ફેન્સીંગના તારમાંથી વીજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. લાલપુરના પાર્થ સોસાયટી મેઈન રોડ પર રહેતા રમણીકભાઈ ધનજીભાઈ જુલાસણા (ઉ.વ.65) નામના વૃધ્ધ ગત તા.23ના સાંજના ખારા વિસ્તારમાં આવેલી વાડી ગયા હતા અને વાડીએ પાકમાં પીયત કરતા હતા. આ દરમ્યાન પાણીની ઈલેક્ટ્રીક મોટરનો સર્વિસ વાયર ફેન્સીંગના તારને અડી ગયો હતો. ખેડુત અકસ્માતે શેઢા પરના ફેન્સીંગ તારને અડી જતાં બેશુધ્ધ થઈને જમીન પર ઢળી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં પરિવારજનો વાડીએ પહોંચી ગયા હતા અને ખેડુતને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમની સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગેની પ્રવિણભાઈ ધનજીભાઈ જુલાસણાએ પોલીસમાં જાહેર કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.કે.બેરાએ મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.
શ્વાનનો આતંક:જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકા ભરી લોહી-લુહાણ કર્યા
જામનગર શહેરની જુની જી.જી.હોસ્પિટલ બિલ્ડીંગમાં કેસ બારીની સામેથી પસાર થતા કેન્સરના દર્દીને કુતરાએ બચકા ભરતા ભારે અફડા-તફડી મચી જવા પામી હતી. ત્યારે તગડો પગાર મેળવતી સિક્યુરીટી સામે પ્રશ્નો ઉભા થયા છે. શહેરના રણજીતનગરમાં રહેતા શ્યામભાઈ સિંધી નામના વૃધ્ધને મોંઢાના ભાગે કેન્સરની બીમારી હોય અને તેઓ આજે સવારમાં જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તેઓ કેસ બારીની સામેના ભાગેથી ચાલીને જતા હતા. ત્યારે ઘુરાયેલા કુતરાએ વૃધ્ધને હાથમાં બચકું ભરી લેતાં લોહી લુહાણ થયા હતા. આ દરમ્યાન ત્યાં સારવાર માટે આવેલા દર્દીઓ તેમજ સગા-સંબંધીઓમાં થોડીવાર માટે ભારે અફડા તફડી મચી ગઈ હતી. બાદમાં વૃધ્ધે પરિવારજનોને જાણ કરીને હોસ્પિટલમાં જ કુતરાએ બચકા ભરીને લોહી-લુહાણ કર્યા હોવાથી તેની સારવાર લીધી હતી. ત્યારે સિક્યુરીટી ગાર્ડને મહિને લાખો રૂપિયાનો પગાર ચુકવવામાં આવે છે, તેમ છતાં હોસ્પિટલમાં શ્વાન, પશુઓ અંદર ઘુસી જતાં હોવાના બનાવો બને છે. જેથી સિક્યુરીટી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોના આતંકે માઝા મૂકી છે. સમયાંતરે ખાસ કરીને સવારે તેમજ રાત્રે આવા માર્ગો પર રઝળતા શ્વાનના હુમલાનો ભોગ પણ લોકો બનતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. હવે સરકારી હોસ્પિટલમાં પણ આંટાફેરા કરતા શ્વાનના હિંસક હુમલાનો ભોગ દર્દી બન્યાના બનાવને પગલે સંબંધિત સ્થળ પર ક્ષણિક અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા સામે પણ ઉપરોક્ત બનાવ પ્રશ્નાર્થ સર્જી રહ્યો હોવાનો સૂર ઉઠ્યો છે.
ફરિયાદ:પોરબંદર શહેરમાં હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણી બાબતે સામસામે મારામારી કરી
પોરબંદરના કડિયાપ્લોટ શેરી નંબર 3માં હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણી બાબતે સામસામી મારામારીનો બનાવ બન્યો હતો. સામસામી મારામારીમાં લાકડાના ધોકા, તીક્ષણ હથિયાર વડે માર મારતા સામસામે ઇજા પહોંચી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી 6 શખ્સ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના કડિયાપ્લોટ શેરી નંબર 3માં રહેતા મયુર રમેશ મકવાણાના ભાઇ હર્ષદએ આરોપી શિવમ અરવિંદ ઉર્ફે અજુ રામા ચૌહાણના ભાઇ દિપેશ પાસેથી હાથ-ઉછીના લીધેલ હતા અને આ રૂપીયા બાબતે મન:દુખ હોય અને અવાર નવાર બોલાચાલી થતી હોય જેથી કડિયાપ્લોટમાં આરોપી શીવમ અરવિંદ ઉર્ફે અજુ રામા ચૌહાણએ મયૂરને ભુંડીગાળો આપી અને માથાના ભાગે લાકડાનો ધોકો મારી ગંભીર ઈજા કરી હતી તથા આરોપી અરવિંદ ઉર્ફે અજુ રામા ચૌહાણ તથા આરોપી કમળાબેન અરવિંદ ઉર્ફે અજુ રામાભાઇ ચૌહાણએ મયૂરને ભુંડી ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાવી છે જ્યારે સામાપક્ષે અરવિંદ ઉર્ફે અજુએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેના દીકરા શિવમ પાસેથી આરોપી હર્ષદ ઉર્ફે નાસ્તો રમેશ મકવાણાએ લીધેલ હાથ ઉછીના રૂપીયા 15 હજારની ઉઘરાણી બાબતે તેનો દીકરો શિવામ અને આરોપી મયુર ઉર્ફે મયલો રમેશ મકવાણા બન્ને ગાળા-ગાળી અને ઝઘડો કરતા હોય જ્યાં તેઓ જતા આરોપી મયુરએ અરવિંદને ગાળો આપી તેના હાથમાં કોઇ તીક્ષણ હથીયાર હોય વડે ડાબા હાથમાં ઘા મારી ઇજા કરી અને અરવિંદની પત્ની કમળાબેનને આરોપી હર્ષદ ઉર્ફે નાસ્તો તથા આરોપી વિજય કેશુ વાઘેલાએ ભુડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી, 6 શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.
જાહેરનામું:ઓડદર ગામે ફાયરીંગ બટના સ્થળની આસપાસ પ્રવેશબંધી
પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ ખાતે ઇન્ડીયન કોસ્ટગાર્ડના જવાનોને ફાયરીંગ પ્રેકટીસ કરવામાં આવનાર હોવાથી આ ફાયરીંગ બટ સ્થળની આજુબાજુ અવર-જવર કરનારાઓને કોઇ નુકશાન ન થાય તે હેતુથી પોરબંદર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા ફાયરીંગ બટ સ્થળની આસપાસ અવર જવર માટે પ્રવેશબંધી ફરવવામાં આવી છે. જાહેરનામા અનુસાર તા.24/11/2025 થી તા.26/11/2025ના 3 દિવસ માટે 06 કલાક થી 18 કલાક સુધી પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ વિસ્તારમાં પૂર્વ અને પશ્વિમ ભાગે-600 મીટર, ઉતર અને દક્ષિણ ભાગે-600 મીટર અને ત્યાંથી દરીયામાં આજુબાજુના વિસ્તારના રાહદારીઓને તેમજ વાહનો માટે તથા વ્યકિતગત તેમજ વહાણ અને બોટ લઇને જનાર માછીમારોને અવર-જવર કરવા ઉપરોકત સમય દરમ્યાન પ્રવેશબંધી ફરવવામાં આવ્યો છે.
કાઉન્સેલિંગ:ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે મહિલા રસ્તામાં ઉતરીને ભાગી નીકળ્યા
પોરબંદર સિટી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્રારા 181 નંબર પર ફોન કરી જાણ કરી હતી કે, એક મહિલા છેલ્લા ચારેક કલાકથી એકલા બેઠેલા છે. અભયમ ટીમને ફોન મળતાની સાથે કાઉન્સેલર મીરા માવદિયા, કોન્સ્ટેબલ સેજલબેન પંપાણીયા અને પાયલોટ રવિ શિંગરખીયા સ્થળ પહોચ્યા હતા. મહિલાનું નામ, સરનામું પૂછતા તેઓ પોરબંદર છાંયા વિસ્તારના રહેવાસી હોવાનું જણાવેલ. ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરી, મહિલાને સમજાવી વાનમાં બેસાડી તેમણે જણાવેલ વિસ્તારમાં પહોંચ્યા હતા અને પુછપરછ કરતા મહિલાનું ઘર મળી આવેલ, જેથી તેમના પતિને ફોન કરી જાણ કરતા તેઓ કલાકોથી મહિલાની શોધખોળ માટે નિકળેલા હતાં, મહિલા સુરક્ષિત હોવાની જાણ કરતા તેઓ તુરંત ઘરે આવ્યા હતા અને જણાવેલ કે, મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમની ટ્રીટમેન્ટ માટે હોસ્પીટલ લઈ જતા હતા, ત્યારે મહિલા રસ્તામાં ઉતરીને ભાગી ગયેલા હતા.181 ટીમ દ્વારા મહિલાને સમયસર ટ્રીટમેન્ટ કરાવવા માટે સમજાવ્યા અને સુરક્ષિત તેમના પતિને સોંપ્યા હતા.
પોરબંદર જિલ્લામાં ઘણા સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે, અને જાણવા મળેલ માહિતી મુજબ 480થી વધુ શિક્ષકને હાલ SIR હેઠળની કામગીરી સોપવામાં આવેલ છે, જેમના હિસાબે સરકારી સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકો તેમનું શિક્ષણ મેળવી શકતા નથી. જેથી બાળકો તેમના મૂળભૂત અધિકારથી વંચિત રહી જાય છે.આ ઉપરાંત શિક્ષકો હાલની કામગીરીના કારણે પ્રેસરમાં આવી ગયા હોય, થોડા દિવસ પહેલા ગીરસોમનાથના એક શિક્ષકે આત્મહત્યા પણ કરેલ છે ઉપરાંત ગુજરાતના ઘણા જિલ્લામાં શિક્ષકોને એટેક પણ આવી ગયા છે. SIR કામગીરી શિક્ષકો પાસે કરાવવા ખુબજ ઓછો સમય આપેલ છે અને ટાર્ગેટ વધુ આપેલ છે. એકબાજુ પુરતી ભરતી થતી નથી અને જે શિક્ષકો છે એમને વિવિધ કામગીરોઓ સોપીને બાળકોને તેમના અભ્યાસથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.બાળકોના અભ્યાસની પ્રવૃતિઓ સિવાયની તમામ પ્રકાર પ્રવૃતિઓમાં સરકારી સ્કુલના શિક્ષકો અને પ્રિન્સીપાલો વ્યસ્ત રાખતા હોય, ઉપરાંત ગુજરાતભરમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોય જે વર્ષોથી પુરાતી ના હોય જેમના હિસાબે બાળકોને અભ્યાસની પ્રવુતીઓ શિક્ષકો કરાવી શકતા નથી અને બાળકોનો સર્વાંગી વિકાસ સાધી શકાતો નથી. આથી શિક્ષકોને વધુ પ્રેશર ન આપવા તથા શિક્ષકોને શિક્ષણ સિવાયની બીએલઓ તેમજ ઈતર પ્રવુતીઓના આદેશો બંધ કરાવવાની અરજ સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા અધિકારીને આવેદન પાઠવી રજુઆત કરી છે.
જેની જેટલી આબાદી તેટલી તેની ભાગીદારી:OBC સમાજને વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54 % અનામત આપો
પોરબંદર સહિત 15 જિલ્લામાં વિશ્વ કોળી ઠાકોર એકતા મંચ દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી જેની જેટલી આબાદી તેટલી તેની ભાગીદારીના સૂત્ર સાથે OBC સમાજને વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54 % અનામત આપવા માંગ કરી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓબીસી સમાજને વિવિધ ક્ષેત્રે થઈ રહેલા અન્યાય તેમજ અન્યાયને દૂર કરવા માટે ભારતનું બંધારણ અમલી બન્યું ત્યારથી જ એસસી અને એસટી સમાજને અનામતનો લાભ મળ્યો. ઓબીસીને 44 વર્ષ બાદ 27% અનામત 1994 માં તથા શૈક્ષણિક સંસ્થાઓ 56 વર્ષ બાદ 2006 માંઅનામત મળી હતી. હાલ ઓબીસીને 27% અનામત આપવામાં આવી ત્યારે ઓબીસીની 82 જાતિઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં ધીમે ધીમે કરતાં નવી 64 જાતિઓ ઉમેરવામાં આવી, પણ અનામતની ટકાવારીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.ત્યારે જેની જેટલી આબાદી તેની તેટલી હિસ્સેદારી ના કુદરતી સિદ્ધાંત મુજબ ગુજરાતમાં ઓબીસીને વર્ષતિના પ્રમાણમાં અનામત મળવી જ જોઈએ તેમજ ગુજરાતમાં ઓબીસી આયોગને કાનુની દરજજો આપવામાં આવે અને તાત્કાલિક અસરથી ઓબીસીને સરકારી ભરતીમાં અને શિક્ષણિક સરાઓમાં 54% અનામત આપવી સહિતની માગણીઓ કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ:પોરબંદર શહેરમાં શખ્સે વૃધ્ધાનું પાકીટ અને ચાંદીના ક્ડાની લૂંટ ચલાવી
પોરબંદરના નવા કુંભારવાડામાં રહેતા એક વૃધ્ધાને શખ્સે હાજીસાહેબ તમને કરિયાણું લઈ આપશે તેમ કહી વૃધ્ધાને જૂની કોર્ટ કમ્પાઉન્ડ પાસે લઈ જઈ, તમે ગાંજો વેંચો છો તેમ કહી વૃધ્ધાનો બટવો અને હાથમાં પહેરેલ ચાંદીના કડા ઝૂંટવી લીધા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતો મહમદ ઉર્ફે મામદો નાશીર શાહમદાર નામના શખ્સે નવા કુંભારવાડા ખાડી કાંઠે રહેતા અમીનાબેન હુસૈનભાઈ રાનીયા નામના 90 વર્ષના વૃધ્ધાને કહ્યું હતુંકે, હાજીસાહેબ તમને કરિયાણું લઈ આપશે, હાલો તમને તેની પાસે લઈ જાવ તેમ કહી વૃધ્ધાને જૂની કોર્ટ કમ્પાઉન્ડ પાસે લઈ ગયો હતો અને ત્યાં ઓટલા પર બેસાડીને કહ્યું હતુંકે, તમારી પાસે ગાંજો છે, તમે ગાંજો વેંચો છો તેમ કહી શખ્સે વૃધ્ધાનો બટવો ઝૂંટી તેમાં રહેલ રૂ. 1500 તથા વૃધ્ધાએ બંને હાથમાં પહેરેલ ચાંદીના રૂ.1500ના કડા હાથ માંથી કાઢી ઝૂંટવી લીધા હતા. આ અંગે વૃધ્ધાએ ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુન્હો દાખલ કરી, આગળની તપાસ કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઈ જી.એમ. સોલંકી ચલાવી રહ્યા છે. ફરિયાદ બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી મહમદ ઉર્ફે મામદો નાશીર શાહમદારને ઝડપી લઇ કાર્યવાહી કરી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન પંચનામુ કર્યું હતું અને પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવતા આરોપીએ જાહેરમાં માફી માંગી ઉઠક બેઠક કરી હતી.
તંત્રની બેદરકારી:પોરબંદર ચોપાટી પર પ્રવાસીઓને પીવાનું પાણી પણ મળતું નથી
પોરબંદરની ચોપાટી ખાતે દરિયાનું પાણી જોવા આવતા પ્રવાસીઓને પીવાનું પાણી મળતું નથી,મનપા દ્વારા ચોપાટી પર બનાવવામાં આવેલ પીવાના પાણીના પરબમાં પાણી ભરવાની દરકાર ન લેતા હાલ પીવાના પાણીના પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે તો અહીં આવતા શહેરીજનો અને પ્રવાસીઓને પૈસા ખર્ચી પીવાનું પાણી લેવું પડે છે. પોરબંદર શહેરમાં મુંબઇ બાદ સૌથી લાંબી ચોપાટી આવેલ છે.પોરબંદર શહેરમાં અંદાજે 2 કિલોમીટર લંબાઈ ધરાવતી ચોપાટી ઉપલબ્ધ છે.આ ચોપાટી પ્રવાસીઓ અને શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે.ત્યારે ચોપાટીનો વિકાસ થોડા વર્ષ પૂર્વે પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું.જેમાં ચોપાટી વોકવે,બેઠક વ્યવસ્થા, પાર્કિગ,પીવાના પાણીની સુવિધા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.ત્યારે હાલ આ સુવિધામાંથી અમુક સુવિધા તંત્રની બેદરકારીને લઈને ઉપલબ્ધ નથી.પોરબંદરની ચોપાટી ખાતે દરિયાનું પાણી જોવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ તેમજ શહેરીજનો જ ચોપાટી ખાતે પીવાનું પાણી મળતું નથી.તંત્ર દ્વારા ચોપાટી ખાતે બનાવવામાં આવેલ પીવાના પાણીના પરબમાં પાણી ન ભરવામાં આવતા હાલ આ પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. ચોપાટી પર ફરવા આવતા પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા માત્ર પાર્કિગ ખાતે જ પીવાના પાણીનો પરબ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.બાકી 2 કિલોમીટર સુધીના એરિયામાં એકપણ પીવાના પાણીનો પરબ ઉપલબ્ધ નથી.
કામગીરી:ગ્રાન્ટ ઉપલબ્ધ થતા ટીબી અને એઇડ્સના દર્દીઓને રૂ.24 લાખ, કેન્સરના દર્દીઓને 17.75 લાખ ચૂકવાયા
પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાન્ટના અભાવ ટીબી,એઇડ્સ અને કેન્સરના દર્દીઓને તબીબી સહાય ચુકવવામાં આવી ન હતી જે અંગેનો દિવ્યા ભાસ્કર અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આખરે ગ્રાન્ટ ઉપલબ્ધ થતા ટીબી અને એઇડ્સના દર્દીઓને રૂ.24 લાખ,કેન્સરના દર્દીઓને 17.75 લાખ ચૂકવાયા છે. જિલ્લામાં નોંધાયેલ કેન્સર, એઇડ્સ અને ટીબીના દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા દર માસે તબીબી સહાય ચુકવવામાં આવે છે ત્યારે પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં નોંધાયેલ કેન્સર, ટી.બી અને એઇડ્સ દર્દીઓને છેલ્લા 5 માસથી ગ્રાન્ટના અભાવે સહાય ચુકવવામાં આવી નથી જેને લઈને દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી જે અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કર પ્રસારિત થતાની સાથે જ આરોગ્ય અધિકારી ડો.ધીરેન્દ્ર મહેતા દ્વારા તાત્કાલિક પત્ર વ્યવહાર કરી ગ્રાન્ટની માગણી કરી અને ટીબી અને એઇડ્સના દર્દીઓને રૂ.24 લાખ,કેન્સરના દર્દીઓને 17.75 લાખ ચૂકવાયા છે.આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી ગ્રાન્ટ ફાળવવા પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ અપૂરતી ગ્રાન્ટ આવી છે.
એક જ ફોર્મ ભરીને લેવામાં આવે છે:SIR ફોર્મમાં 2 ફોર્મમાંથી મોટાભાગના એક ફોર્મમાં રિસીવ સહી અપાઈ નહીં
પોરબંદરમાં SIR કામગીરી થઈ રહી છે ત્યારે કેટલાક ઘરોમાં હજુસુધી ફોર્મ આવ્યા જ નથી અને જે ફોર્મ આવ્યા છે તે એકજ ફોર્મ આવ્યા છે, કેટલાક સ્થળે 2 ફોર્મ આવ્યા છે તેમાં ફોર્મ ભરી જમાં કરાવ્યા બાદ બીજા ફોર્મમાં રિસીવ કર્યાની સહી પણ કરવામાં આવી નથી. પોરબંદરમાં SIR કામગીરી થઈ રહી છે. BLO દ્વારા ફોર્મ ઘરે ઘરે જઈને આપવામાં આવ્યા છે ત્યારે હજુસુધી કેટલાક ઘરે ફોર્મ જ પહોંચ્યા નથી. રવિવારે બુથ પરથી કેટલાક નાગરિકોનો સંપર્ક કરીને ફોર્મ આપવામાં આવ્યા હતા. પરંતુ એક જ ફોર્મ આપવામાં આવ્યું હતું. મોટાભાગના ફોર્મ ભરાયા બાદ જમાં કરાવતી વખતે રિસીવમાં સહી પણ કરવામાં આવી નથી. રવિવારે મતદાર સુધારણા યાદીના ફોર્મ જેમાં 6 નંબરનું ફોર્મ કડિયા પ્લોટ વિસ્તારમાં આપવામાં આવ્યું ન હતું. નવું નામ ઉમેરવા માટે 6 નંબરનું ફોર્મ મહત્વનું હોય છે. નાગરિકોએ જણાવ્યું હતુ કે, ફોર્મમાં ઉપરની વિગત લખ્યા બાદ નીચેની વિગત ભરવામાં ખ્યાલ આવતો નથી. ફોર્મ 2 આપ્યા હોય ત્યારે ફોર્મ જમા કરાવ્યા તેની બીજા ફોર્મમાં સહી કરવામાં આવતી નથી જેથી ફોર્મ ભયું તેની કોઈ સાબિતી રહેતી નથી. તો કેટલાક નાગરિકોએ જણાવ્યું હતુ કે, એક જ ફોર્મ આપ્યું છે જે જમાં કરાવી દ્દીધુ છે. મહત્વની વાત એ છે કે ખુદ અધિકારીઓ અને BLO સ્વીકારે છે કે, પૂરતી તાલીમનો અભાવ છે. SIR કામગીરી માટે દરેક BLO ને દરેક નાગરિકના ફોટા સાથેના 2 -2 ફોર્મ આપ્યા છે. નાગરિકોને એક જ ફોર્મ આપે ત્યારે બીજું ફોર્મ માંગી લેવું, અને ફોર્મ ન મળ્યા હોય તો BLO નો સંપર્ક કરી લોકોએ સહકાર આપવો, ફોર્મમાં ઉપરની વિગત લખ્યા બાદ નીચેના ભાગમાં 2 ખાના આપ્યા છે જેમાં ફોર્મ ભરવા માટે અરજદારને ફાવે તો અરજદાર ભરે નહી તો BLO ભરે, અહીં નાગરિકોએ પૂરતો સહકાર આપવો જોઇએ જેથી કામ ઝડપી થાય, ફોર્મ ભર્યા બાદ જમાં કરાવતી વખતે નાગરિકે બીજા ફોર્મમાં રિસીવ સહી કરાવી લેવી જોઈએ. > બી.વી. સંચાણીયા, સિટી મામલતદાર, પોરબંદર
ભાસ્કર એનાલિસિસ:2.08 લાખ ફોર્મ સબમિટ થયા:23 વર્ષમાં જિલ્લામાં 1,84,677 મતદારોનો વધારો થયો
પોરબંદર જિલ્લામાં એસ.આઈ.આર.ની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરીમાં 21 દિવસમાં જિલ્લામાં 41.40 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં વર્ષ 2002ની એસ.આઈ.આર.ની સરખામણી કરવા વર્ષ 2025ની એસ.આઈ.આર.ની યાદીમાં 1,84,677 મતદારોનો વધારો થયો છે. જિલ્લામાં 483 બી.એલ.ઓ.મારફતે આ કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણીપંચ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ 4 નવેમ્બરથી 483 બી.એલ.ઓ.મારફતે એસ.આઈ.આર.ની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં 23 વર્ષ પૂર્વે થયેલ એસ.આઈ.આર.માં કુલ 3,17,066 મતદારો ઉપલબ્ધ હતા જેમાં 23 વર્ષમાં 1,84,677 મતદારોનો વધારો થયો છે અને વર્ષ 2025ની એસ.આર.આઈ.માં જિલ્લામાં 5,01,743 મતદારો થયા છે.જિલ્લામાં હાલ ફોર્મ વિતરણ અને ફોર્મ સબમિટ કામગીરી ચાલી રહી છે જેમાં 21 દિવસમાં 41.46 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લામાં કુલ 5,01,743 મતદારોમાંથી 2.08 લાખ મતદારોના ફોર્મ સબમિટ થયા છે. કામની વાત 1 માસની ઝુંબેશ બાદ બાકી રહેલની યાદી પ્રસિદ્ધ થશે. એસ.આઈ.આર.ની કામગીરી બાદ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટપોલ જાહેર કરવામાં આવશે.જેમાં નામ કમી થયેલ તેમજ બાકી રહેલા મતદારોની યાદી પ્રસિદ્ધ 9 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી સુધીમાં ખુલાસો અથવા જરૂરી પુરાવા સાથે ફોર્મ સબમિટ કરી શકશે.
કાર્યવાહી:પોરબંદરમાં દુકાન બહાર ગેરકાયદેસર બોરિંગ થતું હતું ત્યારે મનપા ટીમ ત્રાટકી
પોરબંદરના એસવીપી રોડ પર ગલીમાં એક દુકાનદાર પોતાની દુકાન બહાર ફૂટપાથ પર બોરિંગ કામ કરાવતા હતા જેની જાણ થતા મનપાના સેનીટેશન વિભાગના સબ ઇન્સ્પેક્ટર અને અને એન્જિનિયર દોડી ગયા હતા અને બોરિંગનો સમાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સોમવારે એસવીપી રોડ પર ગલીમાં એક દુકાનદાર દુકાન બહાર રોડ પર બોરિંગ કરાવતા હોય, જે અંગેની મનપાને જાણ કરવામાં આવતા કમિશનર પ્રજાપતિની સૂચનાથી સેનીટેશન વિભાગના વોર્ડના સબ ઇન્સ્પેક્ટર આશિષ સોલંકી અને એન્જિનિયર મીત ઓડેદરા સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ પર નિરીક્ષણ કરી દુકાન બહાર ગેરકાયદેસર બોરિંગ થતું હોવાનું સામે આવતા ટીમે બોરિંગ માટેના તમામ મશીનો જપ્ત કરી મનપા બિલ્ડિંગ ખાતે લાવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે, ગેરકાયદેસર સ્થળે બોર કરવા બદલ આવા કેસમાં રૂ.10 હજાર સુધીના દંડની કાર્યવાહી થઈ શકે છે. દુકાન કે ઘર બહાર બોરિંગ કરવાની મનાઈ છે મનપાના કમિશનર પ્રજાપતિએ જણાવ્યું હતુકે, દુકાન અથવા ઘરની બહાર રોડ પર અને ફૂટપાથ પર બોર કરાવવા પર મનાઈ છે આમછતાં કેટલાક લોકો ઘર અને દુકાન બહાર બોરિંગ કરાવતા હોય છે જેથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દુકાન કે ઘરની બહાર રોડ પર કે ઓટલા ફૂટપાથ પર બોર ન કરાવવા ખાસ સૂચના આપવામાં આવી છે.
વાતાવરણ:લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી ગગડતા 14.3 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી નીચું આવીને 14.3 ડીગ્રીએ પહોંચ્યું છે. મહતમ તાપમાન 31.7 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે રવિવારે ઠંડીમાં આંશિક રાહત બાદ આજે લઘુતમ તાપમાન નીચું આવતા ફરી વધુ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. પોરબંદરમાં ગઈકાલે રવિવારે મહતમ તાપમાન 31.8 ડિગ્રી રહ્યું હતું જ્યારે સોમવારે મહતમ તાપમાન 31.7 ડીગ્રી નોંધાયું છે જ્યારે ગઇકાલે રવિવારે લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું જેથી ઠંડીમાં આંશિક રાહત અનુભવાઈ હતી જ્યારે સોમવારે લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી નીચું આવીને લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું છે ત્યારે શહેર ફરી ઠંડુગાર બન્યું છે. ખાસ કરીને રાત્રીના સમયે શહેરમાં અને હાઈવે માર્ગ પર ભારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ઠંડી વધુ હોવાથી ચોપાટી સહિતના સ્થળોએ લોકોની ચહેલપહેલ ઓછી થઈ હતી. લોકો ઠંડીથી રાહત મેળવવા ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.
5 નવેમ્બરે, 2025ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. ત્યાર બાદ ઘરથી 20 ફૂટ દૂર ખાડામાં મૃતદેહને દાટી દીધા હતા. આ સમગ્ર કેસમાં આરોપી શૈલેષ ખાંભલાના આજે સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રિપલ મર્ડર કેસમાં ભાવનગર પોલીસ દ્વારા 23 નવેમ્બરના રોજ વનકર્મી યુવતીને ફરી બોલાવી બીજી વખત પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ત્રિપલ મર્ડર કેસમાં ACF શૈલેષ ખાંભલાના પ્રેમ પ્રકરણનો પણ ખુલાસો થયો હતો. જેમાં એક વનકર્મી યુવતીનું નામ પણ સામે આવ્યું હતું. અગાઉ 18 નવેમ્બરના રોજ પોલીસ દ્વારા વનકર્મી યુવતીને બોલાવી પૂછપરછ કર્યા બાદ તેનું નિવેદન પણ લીધું હતું. ત્યારે બે દિવસ પહેલાં ફરી વનકર્મી યુવતીને બોલાવી પૂછપરછ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગૂંગણામળથી મોત થયાનો ખુલાસોસિટી DySP આર.આર. સિંઘાલે આરોપી શૈલેષ ખાંભલાની 4થી 5 વખત પૂછપરછ કરી હતી અને વનકર્મી યુવતીની પણ આ ગુનામાં કોઈ સંડોવણી છે કે નહીં તે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આજે કોર્ટમાં મંજૂર થયેલા 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી શૈલેષ ખાંભલાને બપોરે કોર્ટમાં રજૂ કરાશે અને આ આરોપીની વધૂ પૂછપરછ માટે કોર્ટ પાસેથી કબજો લેવામાં આવશે. આ સાથે જ ગુનામાં જે PM રિપોર્ટ લેવામાં આવ્યો હતો તે આવી જતાં તેમાં ગૂંગળામણથી મોત થયું હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે અને સાથે વિશેરાનો FSL રિપોર્ટ સોમવાર સુધીમાં આવશે. પોલીસે રિમાન્ડ મેળવવા કોર્ટમાં 7 મુદ્દા રજૂ કર્યાભાવનગર ટ્રિપલ હત્યાકેસમાં તપાસનો ધમધમાટ વધુ તીવ્ર બન્યો છે. ભાવનગર પોલીસ દ્વારા 18 નવેમ્બરના રોજ આરોપી શૈલેષ ખાંભલાને રિમાન્ડ મેળવા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એને ધ્યાને લઈને પોલીસ હવે આ કેસમાં દરેક પાસાને ફંફોસી રહી છે. રિમાન્ડ મેળવવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં 7 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીનો વનકર્મી યુવતી સાથે 4 વર્ષથી પ્રેમસંબંધપોલીસની પૂછપરછમાં આરોપી શૈલેષ ખાંભલાને એક વનકર્મી યુવતી સાથે 4 વર્ષથી પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે વર્ષ 2022થી વાતચીત થતી હતી અને ખાસ તો આ હત્યાનો બનાવ બન્યો એ પહેલાં-પછીના દિવસોમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી. એને લઈને 18 નવેમ્બરની રાત્રિના વનકર્મી યુવતીને બોલાવી પોલીસ દ્વારા પૂછપરછ કરી તેનું નિવેદન લેવામાં આવ્યું હતું, જોકે પ્રેમપ્રકરણ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા?આ સાથે જ આરોપી શૈલેષ ખાંભલાએ BSC-કેમિસ્ટ્રી કર્યું છે, જેથી તેણે મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે કે નહીં એ માટે ઘટનાસ્થળે મૃતક પાસેથી મળી આવેલી લાલ રંગની બોટલની તપાસ માટે એફએસલમાં મોકલવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત પરિવારને ખાડામાં દાટી ફિલ્ડ વિઝિટમાં તળાજા જતો રહ્યો હતો. આરોપી તળાજા જતી વખતે કપડાં શેત્રુંજી નદીમાં ફેંકીં દીધાં હતાં તેમજ તમામના ચપ્પલ એક થેલીમાં નાખી શહેરના દેસાઈનગર વિસ્તારમાં નાખી દીધા હતા. ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી?આરોપી શૈલેષ ખાંભલા પરિવારની હત્યા કરી શોધખોળના બહાને સુરત જતો રહ્યો હતો. આ હત્યાના ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં એની તપાસ ચાલી રહી છે. વધુ તપાસમાં પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરે લીધેલાં કપડાં, કોટાસ્ટોન (પથ્થર) કપડાંમાં ભરી દીધા એના સેમ્પલ અને ઘટનાસ્થળેથી ઓશીકા, ચાદર સહિતનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. હાલ તમામ સેમ્પલ ભાવનગર પોલીસે કબજે કરી ગાંધીનગર અને જૂનાગઢ FSL લેબ ખાતે મોકલી આપ્યાં છે. કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાઆ જઘન્ય અપરાધમાં ગુનાના મૂળ સુધી પહોંચવું જરૂરી હોવાને લઈને ભાનવગર પોલીસ દ્વારા આરોપી શૈલેષ ખાંભલાના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, એટલે કે તારીખ 25 નવેમ્બરના બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શેતાન શૈલેષે પત્ની અને પુત્ર-પુત્રીને પતાવી દીધાં, જાણો ભાવનગરમાં ACFના ઘરમાં શું શું થયું? તારીખ: 5 નવેમ્બર, 2025સ્થળ: ફોરેસ્ટ કોલોની, ભાવનગરસમય: સવારના 7.00થી 8.00 ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે 6 નવેમ્બરે થોડી ચહલપહલ હતી. આમ તો અવાવરૂ જેવી આ જગ્યામાં ખાસ કોઈની અવરજવર જોવા મળતી નથી, પરંતુ એ દિવસે ત્યાં અચાનક માટીનાં ડમ્પર આવે છે. આ દરમિયાન એક બીટ વનરક્ષક ફોરેસ્ટ વિભાગના ક્વાર્ટર પાછળ આવેલા ખાડા તરફ જવા લાગ્યો, પરંતુ સામેથી અચાનક જ અવાજ આવ્યો... તમે અહીં આવતા નહીં, મારો પગ સાપ પર દેવાઈ ગયો છે અને એ કરડી જશે, જોકે તે વ્યક્તિનો સાપ પર પગ નહોતો આવ્યો, પણ એક ખતરનાક ખૂની ખેલને છુપાવવા માટેની માત્ર એક ટ્રિક હતી. 5 નવેમ્બર, 2025ની સવાર હતી. હજુ તો સૂરજ દાદા ઊગી રહ્યા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં શાંતિ છવાયેલી હતી અને ઘણા લોકો ઊંઘમાં હતા. બરાબર આ જ સમયે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ક્વાર્ટરમાં એક ખતરનાક ષડ્યંત્રને અંજામ આપવાની તૈયારીઓ થઈ રહી હતી. આ તૈયારીઓ બીજા કોઈએ નહીં, પણ એક વર્ષ પહેલાં જ પ્રમોશન લઈને ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) બનેલા શૈલેષ ખાંભલાએ કરી હતી. આગળ જતાં આ ભયંકર અને ધ્રુજાવી દેનારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનવાની હતી. શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતાં, જોકે તેઓ સુરતમાં રહેતાં હતાં, પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યાં હતાં. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી, જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો. 5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સૂતાં હતાં ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઊઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઊંઘી રહેલાં તેનાં પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો. ત્રણેયની લાશ નિકાલ કરવા પ્લાનિંગ ઘડ્યું. 8.30 વાગ્યે ખેલ પૂરો કરી દીધો7 વાગ્યે વહાલસોયા સંતાનો અને પત્નીને પતાવી દીધાં બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા, પરંતુ હવે એમાં લાશ મૂકવા અને પછી એને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાર્ટરથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બન્નેના મૃતદેહ નાખી દીધા. હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો તે 8.30નો સમય બતાવતી હતી. ડેડબોડી ખાડામાં નાખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાખી દીધું. શેતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો. તે ભાવનગરમાં જ હતો, પણ ઘરે ન આવ્યો. ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાંની જાણવા જોગ નોંધાવી. તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતો અને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો. પોલીસે આ જાણવા જોગના આધારે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી, જેમાં પત્ની નયનાબેન, દીકરી પૃથા તથા દીકરો ભવ્યના ફોટો-આધાર કાર્ડ વગેરે માહિતી મેળવી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ મેસેજથી મોકલી આપવામાં આવ્યો હતો. સિક્યોરિટીએ કહ્યું, મેં તો તેમનાં પત્ની કે બાળકોને જોયાં નથી8 નવેમ્બરના રોજ ગુમ થયેલાં નયનાબેનનો મોબાઇલ નંબરના સીડીઆર મગાવવામાં આવ્યા. આ દરમિયાન ACF શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયાં હોવાનું સિક્યોરિટીએ જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે સિક્યોરિટીની પૂછપરછ કરતાં બાળકો કે પત્નીને જોયાં ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી, સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતાં પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતાં રહ્યાં હતાં એના પર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મગાવી એમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની વધુ પૂછપરછ કરી હતી. મેસેજ ડ્રાફ્ટમાં જ પડ્યો રહ્યો ને શૈલેષનું કામ તમામ થઈ ગયુંશૈલેષે વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો, જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે એવી વાત લખી હતી, જોકે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં, કારણ કે ફોન એરોપ્લેન મોડમાં જ હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા એ મિસમેચ આવ્યો હતો. એના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો. પોલીસે RFOને પૂછ્યું ને એક બાદ એક રહસ્યો ખૂલવા લાગ્યાંઆ સાથે જ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતાં પોલીસે તેનો મોબાઈલ ટ્રેસ કરી એમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેઇલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવતાં તે નંબરની વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતાં અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું. 2 નવેમ્બરે ખાડા કરવા સૂચના આપી, પછી માટી નખાવીત્યાર બાદ 15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણિયાનું નિવેદન લેવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે શૈલેષે તેના ક્વાર્ટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સૂચના આપી. ત્યાર બાદ આ જ ખાડાને ફરી બૂરવા માટે શૈલેષે સૂચના આપી. આ સૂચનાને પગલે વનરક્ષક વિશાલ પનોતે બે ડમ્પર મોરમ (ટાશ) મગાવી ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં ભરાવીને એ જગ્યા સમતલ કરાવી હતી. એને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી. 'ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે'આ ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસે નિવેદન આપવા બોલાવ્યા, જેમાં તેમણે જણાવ્યું કે 6 નવેમ્બરે સવારના 8.35 વાગ્યે પોતાના મોબાઇલ ફોન પર RFO મિત વાણિયાએ ફોન કરી કહ્યું કે ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે. બે ડમ્પરની વ્યવસ્થા કરવાની છે એમ કહેતાં કુલદીપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી બે ડમ્પર મોકલવા જણાવ્યું હતું. આ પછી સવારે 10 વાગ્યે ડમ્પરવાળાનો ફોન આવ્યો, જેથી પોતે તથા RFO વાણિયાનો ડ્રાઇવર સંજય રાઠોડ બન્ને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને ACF ખાંભલાને ફોન કરી ડમ્પર ક્યાં નાખવાના છે એમ પૂછતાં કહ્યું હું આવું છું. 'તમે અહીં આવતા નહીં, મારો પગ સાપ પર દેવાઈ ગયો છે અને એ કરડી જશે'ત્યાર બાદ થોડીવારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાનાં છે? એમ પૂછતા તેણે કહી દીધું કે આ ડમ્પર પાછળ લઇ લો, જ્યાં તેના કવાર્ટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ દરમિયાન શૈલેષ પણ ક્વાર્ટર પાછળ થઈને જ્યાં ડમ્પર નાખવાનાં હતાં એ ખાડા બાજુ ગયો. આ દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા ત્યારે શૈલેષે કહ્યું કે તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને એ કરડી જશે. 'ખાડામાં રાત્રે એક રોઝડું પડી ગયું હતું એટલે મેં ગાદલું નાખ્યું'આ ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી? અહીં માટી પડેલી છે એનાથી જેસીબીથી પુરાવી દેત. ત્યારે ખાંભલાએ કહ્યું કે ખાડામાં રાત્રે એક રોઝડું(નીલગાય) પડી ગયું હોવાથી એને ખાડામાંથી બહાર કાઢવા માટે મેં ગાદલું નાખી દીધું હતું અને એના સહારે રોઝડું બહાર નીકળી ગયું હતું. ત્યાર પછી જેસીબીથી ખાડાને બૂરી દેવાયો હતો. એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યોત્યાર પછી તેમણે બે માણસો લાવી જગ્યા સમથળ કરાવી દેજો, એમ કહેતાં જગ્યાને સમથળ કરાવી દીધી હતી. 16 નવેમ્બરના રોજ ગિરીશ બલદાણિયાના નિવેદન પ્રમાણે RFO વાણિયા સાહેબના કહેવાથી 2 નવેમ્બરે બપોર પછી જેસીબી લઈ ફોરેસ્ટ કોલોનીમાં એસીએફ ખાંભલાના ક્વાર્ટર પાસે તેના જણાવ્યા પ્રમાણે એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો. 6 નવેમ્બરે ખાડાઓ બૂરવા માટે વધુ મોરમ(માટી) મગાવી એને ભરી દેવાનું કહ્યું. એ બાદ મોરમ લઈને ખાડાઓ બૂરી આપ્યા હતા. ભાવનગરના ફોરેસ્ટ અધિકારીને ફાંસીની માગ સાથે સુરતમાં કેન્ડલ માર્ચ, લોકોની ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપવાની માગ ભાવનગરમાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં ‘ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યાથી પરિવાર આઘાતમાં; ભારે હૈયે વીડિયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરી ભાવનગરમાં ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ ભારે હૈયે સોશિયલ મીડિયા મારફત સરકાર અને પોલીસને તેના પરિવારનાં બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યા કરનારા પુત્ર શૈલષને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
વલસાડ સિટી પોલીસે સારવારના બહાને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને DySP એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વિશેષ સૂચનાઓ અપાઈ હતી. તેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી. ગત 15 નવેમ્બર 2025ના રોજ વલસાડના રહેવાસી હેકટર ચૌથીયા સુથવાડેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમને ડો. રૂસ્તમ નામના ડોક્ટરનો પરિચય કરાવ્યો હતો. આ ડોક્ટરે તેમના પગની તકલીફની સારવારના નામે 19 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા રોકડા લીધા હતા અને વધુ રકમ RTGS દ્વારા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. ત્યારે આ સારવારના બહાને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા જ હેકટર ચૌથીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમો ગઠિત કરવામાં આવી. ટીમે 200થી વધુ CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસમાં સામે આવ્યું કે, આ ગેંગ રાજસ્થાનના બારા જિલ્લાની હતી અને ખોટા નામે સારવણીયા સ્થળોએ જઈ સિનિયર સિટીઝનને નિશાન બનાવતી હતી. પોલીસે મહારાષ્ટ્ર-વાપી રૂટ પરથી ગેંગના બે સભ્યો મોહંમદ સમીર મોહંમદ ઇરફાન અને મોહંમદ ઇરફાન મોહંમદ ઇસમાઈલને ઝડપી પાડ્યા છે. જોકે, ગેંગનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર રૂસ્તમ ઉર્ફે મોહંમદ ઇરફાન આરીફ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે પોતાની તબિયત અંગે ચર્ચા ન કરવાની, ક્વોલિફાયડ ડોક્ટર પાસેથી જ સારવાર લેવાની અને કોઈ શંકા જણાય તો તરત 112 પર સંપર્ક કરવાની સૂચના આપી છે. શું છે સમગ્ર ઘટના?આ અંગે DYSP એ કે વર્માએ જણાવ્યું કે, વલસાડ શહેરમાં રહેતા પારસી સમાજના વિરા હેકટર ચૌથીયાના પતિ હેકટર ચૌથીયાને છેલ્લા 2 વર્ષથી ડાબા પગમા તકલીફ હતી. જેની સારવાર ચાલુ હતી, આ દરમિયાન ગત તા.15મી નવેમ્બર 2025ના રોજ હેકટર ચૌથીયા સુથવાડ ખાતે લેપ લગાવવા માટે ગયા હતા ત્યારે પરત ઘરે આવતી વખતે ચીખલી હાઇવે ઉપર નાસ્તો કરવા માટે રોકાયા હતા. ત્યા આગળ એક વ્યક્તિ મળ્યો હતો. તેણે જણાવ્યું કે, તેમના પિતાને પણ આવી જ બીમારી હતી. જેની સારવાર તેમણે ડો.રૂસ્તમ પાસે કરાવી હતી, જેથી પગની બીમારી સારી થઈ છે. ફરિયાદીએ ડોક્ટર રૂસ્તમનો સંપર્ક કરતા તે પોતે પુણેથી બોલે છે અને તમારે સારવાર કરવી હોય તો અહિં આવવું પડશે તેમ જણાવ્યું હતું. જોકે, ફરિયાદીએ ત્યા આવવાની ના પાડી હતી. ત્યારે ડોક્ટર રૂસ્તમે એવું જણાવ્યું કે હુ ત્યા આવી સારવાર કરી દઈશ પણ તેનો ખર્ચો વધુ થશે. જેથી આ લોકોએ સહમતી આપી હતી. આ દરમિયાન 21 તારીખે ડોક્ટર રૂસ્તમ આવ્યાં હતા અને કહ્યું હતું કે આ સારવાર માટે એક ટીપાનો ખર્ચ 11 હજાર થશે. જે બાદ તેઓએ સારવાર શરૂ કરી હતી. આ સારવાર દરમિયાન તેઓએ 171 ટીપા નાખ્યા હતા અને તેનું બિલ 19 લાખ રૂપિયા કર્યું હતું. વધુમાં જણાવ્યું કે, આટલું બિલ જોતા જ ફરિયાદી અને તેમના પત્ની ગભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે આટલા રૂપિયા તો છે નહીં જેથી એક લાખ રૂપિયા તેઓએ ચુકવ્યા હતા અને બાકીના રૂપિયા બાદમાં આપવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ આ વાતની જાણ તેમના પુત્રને કરી હતી. જેથી પુત્રને આ વાત પર શંકા જતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ ડોક્ટર રૂસ્તમનો ફરી સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે આ 18 લાખ રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. આરોપીઓની એમઓ એવી હતી કે આ લોકો એક ટોળકી બનાવીને કામ કરતા હતા. એક વ્યક્તિ કોઈ જાહેર જગ્યા અથવા ધાર્મિક સ્થળે જઈ ત્યા આવા કોઈ વ્યક્તિ હોય તેને સારૂ કરી આપવાનું જણાવતા હતા. જે બાદ આ પ્રમાણે સારવારના નામે છેતરપિંડી કરતા હતા. આ લોકોએ અત્યાર સુધીમાં 6 લોકો પાસેથી આ પ્રમાણે રૂપિયા ઉઘરાવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે હેકટર ચૌથીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમો ગઠિત કરવામાં આવી. ટીમે 200થી વધુ CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી. તપાસમાં સામે આવ્યું કે, આ ગેંગ રાજસ્થાનના બારા જિલ્લાની હતી અને ખોટા નામે સારવણીયા સ્થળોએ જઈ સિનિયર સિટીઝનને નિશાન બનાવતી હતી. પોલીસે મહારાષ્ટ્ર-વાપી રૂટ પરથી ગેંગના બે સભ્યો – મોહંમદ સમીર મોહંમદ ઇરફાન અને મોહંમદ ઇરફાન મોહંમદ ઇસમાઈલને ઝડપી પાડ્યા છે. જોકે, ગેંગનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર રૂસ્તમ ઉર્ફે મોહંમદ ઇરફાન આરીફ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે પોતાની તબિયત અંગે ચર્ચા ન કરવાની, ક્વોલિફાયડ ડોક્ટર પાસેથી જ સારવાર લેવાની અને કોઈ શંકા જણાય તો તરત 112 પર સંપર્ક કરવાની સૂચના આપી છે.
ફરી પરમાણુ ટેસ્ટની તૈયારી કરી રહ્યું છે ઈરાન? અમેરિકા અને ઈઝરાયલનું વધશે ટેન્શન
Iran Nuclear Site Rebuilding : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. નવેમ્બર-2025ની નવી સેટેલાઈટ તસવીરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ઈરાન તેની જૂની પરમાણુ હથિયાર સાઈટ ‘તાલેઘાન-2’ (Taleqan-2)નું પુરઝડપે બાંધકામ કરી રહ્યું છે. આ સાઈટ તેહરાન નજીકના પારચિન મિલિટરી કોમ્પ્લેક્સમાં આવેલી છે. પરમાણુ નિષ્ણાતોને ડર છે કે, આ સ્થળે અણુબોમ્બ બનાવવા માટે જરૂરી હાઈ-એક્સપ્લોઝિવ પરીક્ષણો ફરી શરૂ થઈ શકે છે. ઈરાનનો ‘અમાદ પ્લાન’ ફરી શરૂ
ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોમવારે થયેલી એક ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પડોશીઓ સાથે ઉંચા અવાજે ગીત સાંભળવાના વિવાદને લઈને ફરિયાદ નોંધાવવા આવેલા 50 વર્ષીય ઐયુબ પટેલ પોલીસ મથકમાં જ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું. યુવતીના ફિયાન્સે માર મારતા આધેડનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, મે અવાજ ધીમો કર્યો હતો છતાં તેમણે મને ત્રણ તમાચા માર્યા હતા. જેથી મારા મંગેતરે મને આવીને બચાવવાની કોશિશ કરી હતી અને મારામારી થઈ હતી. મળતી માહિતી મુજબ, ભરૂચના શુકુન બંગલોઝ વિસ્તારના રહેવાસી ઐયુબ પટેલને હૃદયરોગની સમસ્યા હતી. પડોશમાં રહેતી યુવતી સતત તેજ અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડતા હોવાને કારણે તેમણે અવાજ ધીમો રાખવા જણાવ્યું હતું. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચતા બંને પક્ષ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. આ દરમિયાન ઐયુબ પટેલ અચાનક બેભાન થઈ નીચે ઢળી પડ્યા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલા જ તેમનું અવસાન થયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. તબીબી રિપોર્ટ મળ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ મથકમાં જ ફરિયાદીનું મોત નિપજતા સ્થાનિક સ્તરે ભારે ખળભળાટ મચી ગયો છે. મૃતકના ભાઈ યાકુબ ગુરુજીએ આક્ષેપ સાથે જણાવ્યું કે, આજે મારા પર મારા ભત્રીજાનો ફોન આવ્યો હતો કે, મારા ભાઈની સામે રહેતા વ્યક્તિ રોજ તેની મ્યુઝિક સીસ્ટમ વધારે અવાજ સાથે વગાડે છે જેથી તેમને ભાઈ ઓછા અવાજે વગાડવાનું કહેવા જતા બંને વચ્ચે તકરાર થઈ હતી. તે સમયે યુવતીનો મંગેતર ત્યાં જ નજીકમાં રહેતો હોય આવીને મારા ભાઈની છાતીમાં ફેંટો અને લાતો મારી હતી. જેથી અન્ય લોકોએ તેમને છોડાવીને ભાઈને લઈને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા જ્યાં તે વાત કરતા જ ઢળી પડ્યા હતા, જેથી તેમને રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, પરતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી છાતીમાં ફેંટો મારવાથી મારા ભાઈનું મોત નિપજ્યું છે અને તે બાબતની અમે ફરિયાદ લખાવવાના છીએ. જેની સાથે બબાલ થઈ તે યુવતીએ પણ આક્ષેપ કરતા જણાવ્યું કે, મારા લગ્ન હોય હું ગીતો વગાડતી હતી. તો સામે વાળા ભાઈએ આવીને મને એવું કહ્યું કે, અવાજ બંધ કર જોકે અવાજ ધીમો જ હતો તો પણ તે ભાઈએ આવીને અવાજ ઓછો કરો અવાજ ઓછો કર જેથી મેં અવાજ પણ ઓછો કર્યો હતો. તેમ છતાંય તે વ્યક્તિ મને ખેંચીને ગેટ પાસે લઈ ગયો હતો અને મને ત્રણ તમાચા માર્યા હતા. જેથી મારા મંગેતરે મને આવીને બચાવવાની કોશિશ કરી હતી. જોકે, તેમને પણ જાંઘ પર બચકું ભરી લીધું હતું અને મારામારી થઈ હતી. ત્યારબાદ અમે ફરિયાદ આપવા પોલીસ મથકે ગયા હતા.
ભુરીબેન રેવાભાઇ સુસરા (ઉં.વ. 62, રહે. સાંગોઇ ગામ, સાયલા, સુરેન્દ્રનગર) આજે સવારે 10:00 વાગ્યાં આસપાસ પોતે કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ સામે ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લીધા હતા. જેમાં તેઓને માથે ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોકટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતા.પરિવારજનોએ જણાવ્યું કે, ભુરીબેનને સંતાનમાં 3 દીકરા અને 6 દીકરી છે. તેમનો એક દીકરો રાજકોટના નવાગામના રંગીલા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં રહેતો હોય અને તે પુત્રના ઘરે પુત્રનો જન્મ થયો હોય, આજે એ પૌત્રની છઠ્ઠી હોવાથી દાદીમા ભુરીબેન ત્યાં જતા હતા. અકસ્માત સર્જનાર કારના નંબર જીજે 05 આરજે 5050 છે. કાર ચોટીલા તરફથી પુરપાટ ઝડપે આવતી હતી. પોલીસે કાર ચાલકની અટકાયત કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. હિટ એન્ડ રનમાં રીક્ષાની ઠોકરે ઘવાયેલા આધેડનું સારવારમાં મોતઅનવરભાઈ હાજીઅલ્લારખા મકવાણા (ઉં.વ. 53, રહે. ભરતવન સોસાયટી, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા રોડ) ગત તા.19ના રોજ સવારે બાઈક લઈને જતા જતા ત્યારે 10.30 વાગ્યાં આસપાસ દૂધસાગર રોડ ઉપર ફારુકી મસ્જિદ પાસે અજાણ્યો રીક્ષા ચાલક ઠોકર મારી નાસી ગયો હતો.અકસ્માતમાં અનવરભાઈને ઈજા થઈ હતી. તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે તેમનુ મૃત્યુ નીપજ્યું હતું. થોરાળા પોલીસની ટીમે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પરિવારે જણાવ્યું કે, અનવરભાઈ તેના મિત્ર માટે મકાન જોવા જતા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.સીએનજી રીક્ષાનો ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. અનવરભાઈ 4 ભાઈ અને 4 બહેનમાં બીજા નંબરના હતા. તેમને સંતાનમાં 1 દીકરો અને 2 દીકરી છે. તેઓ માલીયાસણ બાયપાસ પાસે ગેરેજ અને બેટરીની દુકાન ચલાવતા હતા. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો. યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતઆસોપાલવ હાઈટ્સમાં રહેતા 25 વર્ષીય વેદાંત પાનસુરીયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકનું નામ વેદાંત ભાવેશભાઈ પાનસુરીયા (ઉં.વ. 25) છે. તે મવડીના 80 ફૂટ રોડ પર આસોપાલવ હાઈટ્સમાં રહેતો. આજે સવાર ગળાફાંસો લગાવી જિંદગી ટૂંકાવી લીધી હોવાની જાણ થતા આજીડેમ પોલીસ મથકની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આશાસ્પદ યુવાનના આપઘાતથી પરિવારમા શોક છવાયો હતો. આત્મહત્યાનું કારણ બહાર ન આવતા પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે. આજીડેમ ચોકડી પાસે બસના કાચ ફોડનારા સામે કાર્યવાહી કરવા CPને રજૂઆતરાજકોટથી પસાર થતી સુરતની બસો થોડા સમય પહેલા આજીડેમ ચોકડી આગળથી પસાર થતા બસના કાચ ફોડી ડ્રાઈવર, કંડકટરને ઈજા પહોંચાડવામાં આવી હતી. જે અંગે આજી ડેમ પોલીસમાં નોંધ થઈ છે પરંતુ હજુ સુધી કોઈ આરોપી પકડાયેલા નથી જે બાદ બે દિવસ પહેલા ત્રણ બસના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટના વારંવાર થતી હોય આજ દિન સુધી આ ગેંગ પકડાયેલ નથી. આવો ઈરાદો પેસેન્જરોની લૂંટનો ઈરાદો હોય કે માલીકને નુકશાન પહોંચાડી ડ્રાઈવર - કંડકટરને માર મારી રૂપિયા પડાવવાનો હોય પરંતુ સત્ય બહાર આવે તે જરૂરી છે. આગામી દિવસોમાં આરોપીને પકડી એનુ સરઘસ કાઢી પાઠ ભણાવવામા આવે તેવી ટ્રાવેલ્સ એસોસીએશનએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ગેસ સિલિન્ડર ફાટતા યુવાન ઇજાગ્રસ્તશહેરના અશોક ગાર્ડન પાસે ચામુંડા ચોકમાં વાસણની દુકાનમાં પાંચ કિલોના નાના ગેસના સિલિન્ડર આપતા હોવાથી મનિષ માતાપ્રસાદ વર્મા (ઉં.વ. 18, રહે. નાનામવા સર્કલ) ત્યાં બાટલો ભરાવા માટે ગયા હતો.જ્યાં અચાનક એક સિલિન્ડર ફાટતા મનિષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તપાસ કરતા ત્યાં હાજર બીજા એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી.
જૂનાગઢના મેંદરડા તાલુકાના અમરાપુર-ચાંદ્રાવાડી રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વળાંક પર એક ફોર-વ્હીલ કાર નદીના ખાડામાં ખાબકતા બે યુવકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ યુવકોને ઈજા પહોંચી હતી. આ પાંચેય યુવાનો તેમના મિત્રના લગ્નપ્રસંગે મેંદરડા નજીકના ગઢાળી ગામે આવ્યા હતા અને ત્યાંથી મેંદરડા ખાતે કપડાં લેવા જઈ રહ્યા હતા. વળાંકમાં કાર પરથી કાબૂ ગુમાવતા કાર નદીમાં ખાબકીમેંદરડા પોલીસે જણાવ્યા મુજબ ગઢાળી ગામથી પાંચ મિત્રો એક કારમાં મેંદરડા તરફ જઈ રહ્યા હતા. અમરાપુર અને ચાંદ્રાવાડી ગામ વચ્ચે રોડ પર આવેલા એક વળાંકમાં કાર પરથી કાબૂ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર મહિપાલ અશોકભાઈ કુબાવત અને કિશન લખમણભાઈ કામાણીનામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ત્રણને ઈજા પહોંચી, બેના મોત નીપજ્યાઅકસ્માતમાં કારમાં સવાર ધ્રુવિક પટેલ,વિમલ ધનસુખભાઈ રાણપરીયા,જૈમિક મુકેશભાઈ પ્રજાપતિ નામના ત્રણ યુવકોને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક મેંદરડા ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરીઅકસ્માતના કારણે અમરાપુર-ચાંદ્રાવાડી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ મેંદરડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરાવીને સ્થિતિ સામાન્ય બનાવી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મિત્રના લગ્નમાં ખુશીના માહોલમાં આવેલા યુવકોના અકસ્માતમાં કરૂણ મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ સમગ્ર મામલે મેંદરડા પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં એક યુવતી પર દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા આરોપી અતિક પરમારે યુવતી સાથે ફોટા પડાવી વાઇરલ કરવાની ધમકી આપી મિત્રતા રાખવા દબાણ કર્યું હતું. તેમજ અતિક પરમારે યુવતી સાથે મરજી વિરૂદ્ધ અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે બોરતળાવ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો. આ અંગે સિટી ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું કે, શહેરમાં રહેતી એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે મામલે બોરતળાવ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. વર્ષ 2024માં યુવતી અને નવાપરા વિસ્તારમાં રહેતો અતિક મહેબુબભાઈ પરમારનું એક જ પરીક્ષા સેન્ટર હોવાથી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે પણ થઈ હતી. ત્યાર બાદ અવારનવાર ફોન પર વાતચીત કરતાં અતિક પરમારે યુવતી સાથે ગાઢ મિત્રતા કેળવી હતી. આ દરમિયાન અતિકે યુવતી સાથે ફોટા પડાવ્યા હતા અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી યુવતીને બોરતળાવ વિસ્તારની અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત ફોટા વાઇલરની ધમકી આપી મિત્રતા રાખવા દબાણ પણ કર્યું હતું. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે અતિક પરમારને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટના આદેશ હેઠળ જિલ્લા જેલ હવાલે કરી દીધો છે. આ મામલે પી.આઇ. નરેન્દ્રસિંહ ડાભી તપાસ કરી રહ્યા છે અને આરોપીની CDR કાઢી તથા જ્યારે બંને વચ્ચે મિત્રતા હતી તે સમયે જે સ્ક્રીનશોટ છે તેનો અભ્યાસ હાલ ચાલુ છે અને જો આ તપાસ દરમિયાન અન્ય કોઈની મદદગારી સામે આવશે તો તે શખસની પણ અટક કરવામાં આવશે.
રાજકોટમાં ખાટુ શ્યામ મંદિરની દાનપેટી તોડી તેમાંથી રૂ. 65,000ની ચોરી કરી જતા શખ્સને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એક શખ્સ મંદિરમાં પ્રવેશી સ્ટીલની દાનપેટી તોડતો હોય એવા CCTV સામે આવ્યા હતા જેના આધારે પોલીસે કરેલી તપાસમાં તે શખ્સ વિવેક ચૌહાણ હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે અને આગળની કરેલી તપાસમાં ખુલ્યું છે કે, આ શખ્સ સામે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 16 ગુના નોંધાઈ ચૂક્યા છે. 65 હજારની રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતોગત તા.21 નવેમ્બરના મોડી રાત્રિના જામનગર રોડ ઉપર સૈનિક સોસાયટી પાસે આવેલા કર્નલ બંગલાની બાજુમાં નવા બની રહેલા ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી તોડી અજાણ્યો શખ્સ રૂ.65 હજારની રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે મંદિરના પૂજારી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે મંદિરના સીસીટીવી તપાસ્યા હતા જેમાં એક શખ્સ મંદિરની સ્ટીલની દાન પેટી થોડી તેમાંથી પૈસા લઈ જતો દેખાયો હતો. પોલીસે CCTVના આરોપીની ધરપકડ કરીજેથી પોલીસે CCTVના આધારે ચોરી કરતા શખ્સને ઓળખી લીધો હતો. જે ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતો 39 વર્ષીય વિવેક બિરેન્દ્રસિંગ ચૌહાણ હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે રોકડ રકમ સાથે આ શખ્સને ઝડપી લીધો હતો. વિવેક સામે અગાઉ ગાંધીગ્રામ ઉપરાંત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, થોરાળા, માલવિયા નગર, એ ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન અને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં મળી 16 ગુના નોંધાઈ ચૂક્યા છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં નેશનલ હાઈવે 56 (NHAI) ની બિસ્માર હાલત અને વારંવારની રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી 27મી તારીખે મુખ્યમંત્રી ધરમપુર ખાતે આવવાના છે. જોકે, મુખ્યમંત્રીના આગામી કાર્યક્રમ પૂર્વે ફક્ત શેરીમાળ ફાટક સુધી જ રોડ બનાવવામાં આવ્યો છે, જેને લઈ સ્થાનિક આગ્રણીઓ અને આદિવાસી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. ધરણપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજના આગેવાનોએ આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં 2 દિવસમાં ધરમપુરમાં NH 56 રોડની કામગીરી કરવા માંગ કરી છે, જો તેમ કરવામાં નહીં આવે તો આ કાર્યક્રમનો આકસ્મિત બહિષ્કાર અને રસ્તા રોકો આંદોલન સાથે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વાપીથી શામળાજી સુધીનો નેશનલ હાઈવે 56 અત્યંત ખરાબ હાલતમાં છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર વારંવારની રજૂઆતો છતાં ઘોર નિદ્રામાં છે. અગાઉ પણ આ મામલે રસ્તા રોકો આંદોલનનો પ્રયાસ થયો હતો, ત્યારે અધિકારીઓએ 10 દિવસમાં રસ્તાના સમારકામની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. ધરમપુરથી કરંજવેરી માન નદી થઈને જતો રસ્તો પણ અત્યંત બિસ્માર છે, જેના કારણે રોજ ઉડતી ધૂળની ડમરીઓથી લોકો પરેશાન છે. હાલમાં કરંજવેરી ગામે માન નદી પરનો પુલ અને આંબા ગામે તાન નદી પરનો પુલ બંધ હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી 27મી તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ધરમપુર ખાતે આવવાના છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ફક્ત શેરીમાળ ફાટક સુધી જ રોડ બનાવવામાં આવ્યો છે, જેથી NH 56 ઉપર રોજ અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં વધુ નારાજગીનું કારણ બન્યું છે. ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો આ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે, તો મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ કાળા વાવટા બતાવી આંદોલન કરવાની અને તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી રજૂઆત કરી છે.
કપરાડા વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને જાગૃત કરવા અને SIR (Special Summary Revision) હેઠળ ફોર્મ વેરિફિકેશન પ્રક્રિયાને વેગ આપવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત કોલ સેન્ટર, ડીજે પ્રચાર અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. SIR કામગીરીમાં કપરાડા વિધાનસભા જિલ્લામાં બીજા સ્થાને છે. ધારાસભ્ય જીતુ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં 10મી તારીખથી કોલ સેન્ટર કાર્યરત કરાયું છે. આ કોલ સેન્ટર દ્વારા મતદારો અને ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મતદાર નંબર સાથે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, ડીજે પ્રચાર વાહનો ગામડે-ગામડે અને શેરીઓમાં ફરીને નાગરિકોને વહેલી તકે ફોર્મ દાખલ કરવા પ્રેરિત કરી રહ્યા છે. કપરાડા વિધાનસભામાં કુલ 2,80,000 મતદારો પૈકી 1,40,300થી વધુ મતદારોનું વેરિફિકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે, જે લગભગ 50% કામગીરી દર્શાવે છે. બાકીની કામગીરી 30મી તારીખ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જિલ્લા સ્તરે SIR કામગીરીમાં ધરમપુર વિધાનસભા સૌથી ઝડપી કામગીરી સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે કપરાડા વિધાનસભા 55-60% કામગીરી પૂર્ણ કરીને બીજા સ્થાને પહોંચી છે. ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઝુંબેશ મત મેળવવા માટે નહીં, પરંતુ મતદારોને જાગૃત કરીને સમયસર ફોર્મ દાખલ કરાવવા માટે ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને ડીજે પ્રચાર દ્વારા આંતરિયાળ વિસ્તારોના છેવાડાના મતદાર સુધી પહોંચીને કામગીરી ઝડપભેર પૂર્ણ કરવાના પ્રયાસો ચાલુ છે.
વર્તમાન સમયમાં વાલીઓ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ સુરક્ષા માટે મોંઘી ફી ભરીને ખાનગી શાળાઓમાં શિક્ષણ અપાવતા હોય છે ત્યારે જુનાગઢના ઝાંઝરડા રોડ નજીક આવેલી જાવિયા સ્કૂલની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇંગ્લીશ મીડિયમ ધોરણ-1માં ભણતો માસૂમ બાળક શાળામાંથી ગાયબ થઈ ગયો હતો. પિતા તેને લેવા આવ્યા ત્યારે બાળક હાજર ન મળતાં શોધખોળના અંતે બાળક સ્કૂલથી બે કિલોમીટર દૂર એકલો ચાલતો મળી આવ્યો હતો. શાળા સંચાલકો, શિક્ષકો કે સિક્યુરિટીને બે કલાક સુધી આ ઘટનાની જાણ પણ નહોતી, જેને કારણે વાલીઓએ સ્કૂલના વહીવટ પર ગંભીર આક્ષેપો લગાવ્યા. એક્સ્ટ્રા ક્લાસના નામે રોકાયેલો બાળક સ્કૂલથી ગાયબબાળકના પિતાએ સમગ્ર ઘટના અંગે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યે તેમણે પોતાના દીકરાને ઈકો વાનમાં જાવ્યા સ્કૂલમાં મોકલ્યો હતો. શાળામાંથી શિક્ષકનો ફોન આવતાં તેમણે બાળકને એક્સ્ટ્રા ક્લાસ માટે રોકવાની સંમતિ આપી હતી અને તેનું ફોર્મ પણ ભરી દીધું હતું. શિક્ષકે તેમને ખાતરી આપી હતી કે, તે ઈકો વાનના ડ્રાઇવરને ના પાડી દેશે. બપોરે પિતા સ્કૂલેથી બાળકને લેવા આવ્યા તો હાજર જ નહોતોબાળકના એક્સ્ટ્રા ક્લાસ પૂરા થયા બાદ પિતા જ્યારે બપોરે 1:00 વાગ્યે દીકરાને લેવા માટે સ્કૂલે આવ્યા, ત્યારે તેમણે એક કલાક સુધી રાહ જોઈ. બાળક આવ્યો નહીં એટલે તેમણે શિક્ષકને પૂછપરછ કરી. આ સમયે શિક્ષકોને પણ ખ્યાલ ન આવ્યો કે બાળક ક્યાં છે. પિતાના જણાવ્યા મુજબ જ્યારે તેમણે પોતાના બાળકને શોધવા જવાની કોશિશ કરી ત્યારે સંચાલકો દ્વારા તેમને શોધવા જવા દેવામાં પણ નહોતા આવતા. બાળક બે કલાક બાદ ચોબારી ફાટક નજીક મળ્યોપિતાએ તાત્કાલિક તેમના મોટા ભાઈને આ બાબતની જાણ કરી. બાળકના મોટા બાપુ જ્યારે રસ્તામાં સ્કૂલ તરફ આવી રહ્યા હતા, તે સમયે તેમને તેમનો ભત્રીજો સ્કૂલથી લગભગ બે કિલોમીટર દૂર ચોબારી ફાટક નજીક એકલો ચાલતો મળી આવ્યો હતો. પિતાનો દીકરો સ્કૂલમાંથી ગાયબ થયાના લગભગ બે કલાક બાદ તેના પરિવારને પરત મળ્યો હતો શાળા સંચાલકો ખોટું બોલીને પોતાની બેદરકારી છુપાવી રહ્યા છેબાળકના પિતાએ આક્ષેપ કર્યો કે, સ્કૂલના સંચાલકો અને ટીચરો હાલ જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે કે, મારો દીકરો એક્સ્ટ્રા ક્લાસમાં રોકાયો જ નહોતો. શાળા સંચાલકો ખોટું બોલીને પોતાની બેદરકારી છુપાવી રહ્યા છે. બાળકોની સુરક્ષા મામલે થયેલી આ ગંભીર ભૂલ બદલ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આવતીકાલે લેખિત રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરીશુંબાળકના મોટા બાપુએ પણ ભારપૂર્વક જણાવ્યું કે એક ખાનગી સ્કૂલમાં ભણતો બાળક આ રીતે સ્કૂલેથી નીકળી જાય અને સિક્યુરિટી કે શિક્ષકોને ખ્યાલ પણ ન હોય, તે ઘોર બેદરકારી છે. અમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને મૌખિક રજૂઆત કરી છે અને આવતીકાલે લેખિત રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરીશું. સ્કૂલવાનના ડ્રાઈવરે પણ વાલીના નિવેદનને સમર્થન આપ્યુંસ્કૂલવાનના ડ્રાઈવર ભાવેશ વાજાએ વાલીના નિવેદનને સમર્થન આપતા જણાવ્યું હતું કે, સવારે બાળકને એક્સ્ટ્રા ક્લાસ હોવા અંગે પિતાનો કોલ આવ્યો હતો. વિદ્યાર્થીઓ છૂટ્યા બાદ જ્યારે મેં શિક્ષકને પૂછ્યું ત્યારે જાવ્યા સ્કૂલના ટીચરે પણ કન્ફર્મ કર્યું હતું કે, બાળકને એક્સ્ટ્રા ક્લાસ હોવાથી તેને વાનમાં લઈ જવાનો નથી. બાળક ક્લાસમાં આવવાના બદલે સીડીથી નીચે ઉતરી ગયો હતોજાવિયા સ્કૂલના સંચાલક રમેશ જાવિયાએ આ ઘટના અંગે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, પહેલા ધોરણમાં ભણતા આ બાળકે આજે જ એક્સ્ટ્રા ક્લાસમાં જોડાવાનું શરૂ કર્યું હતું. બાળક ક્લાસમાં આવવાના બદલે સીડીથી નીચે ઉતરી ગયો હતો. ટીચરને પણ ખ્યાલ નહોતો કે, આ બાળકનો પહેલો દિવસ છે અને તે ક્લાસમાં હાજર નથી. થોડીવારમાં જ બાળક તેના ઘરના રસ્તા તરફ જતો રહ્યો અને પરિવારના સભ્યોને મળી ગયો હતો. અમે નબળા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા ક્લાસ ચલાવીએ છીએ અને બાળકોની સુરક્ષા-સલામતીને હંમેશા પહેલું પ્રાધાન્ય આપીએ છીએ. બાળ સુરક્ષા અધિકારીએ તપાસના આદેશ આપ્યાઆ સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુરેશ મહિડાએ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જાવ્યા સ્કૂલના પહેલા ધોરણના બાળકના વાલી અહીં ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને હાલ મૌખિક રજૂઆત કરી છે. ઑફિસમાં ઑપરેટર હાજર ન હોવાથી આવતીકાલે તેઓ લેખિત ફરિયાદ કરશે, જે બાદ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. સ્કૂલમાંથી બાળક ચાલ્યા જવાની આ ઘટનાને ગંભીર બેદરકારી કહી શકાય. તેમણે કાયદાકીય જોગવાઈ વિશે માહિતી આપતા કહ્યું કે, જો વાલી પાસે પૂરતા પુરાવા હોય અને આ વાત સત્ય સાબિત થાય, તો શાળા સંચાલકો વિરુદ્ધ ગુનો પણ નોંધવાની જોગવાઈ છે. હાલ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવાયા છે.
મોરબીના રંગપર નજીક આવેલી રેબન સિરામિક કંપનીની લેબર કોલોનીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં ત્રણ સગા ભાઈઓ સહિત પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ 23 નવેમ્બરના રોજ સવારે 8:30 કલાકે બન્યો હતો. શ્રમિકો ક્વાર્ટરમાં સૂતા હતા ત્યારે ગેસ લીકેજના કારણે રૂમમાં ગેસ પ્રસર્યો હતો અને અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં સિલિન્ડરનું રેગ્યુલેટર લીક થવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દાઝી ગયેલા શ્રમિકોમાં ઇતવારી બંગાળી (22), સૂરજ બક્ષીભાઈ (25), અમન બક્ષીભાઈ (23), વિનય બક્ષીભાઈ (18) અને શિવા ભરત (16)નો સમાવેશ થાય છે. આ પાંચેય વ્યક્તિઓ મૂળ રાજસ્થાનના વતની છે અને છેલ્લા એક વર્ષથી અહીં મજૂરી કરી રહ્યા હતા. સૂરજ, અમન અને વિનય સગા ભાઈઓ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાઇબર ક્રાઇમ કરતી ગેંગને સીમકાર્ડ પૂરી પાડનાર રોડ પર બેસીને છત્રી લગાવી સીમકાર્ડ વેચનાર એજન્ટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સીમકાર્ડ લેવા અથવા તો સીમકાર્ડને લગતું કોઈ કામ માટે જ્યારે છત્રી વાળા એજન્ટ પાસે આવતા ત્યારે છત્રી વાળો એજન્ટ કોઈ બહાનું બતાવી નાગરિકોના આઈડી પ્રૂફ પર તેમની જાણ બહાર સીમકાર્ડ મેળવી લેતા હતા. જે બાદ કમિશન પર આ સીમકાર્ડ અલગ અલગ સાઇબર ક્રાઇમ કરતા સાયબર ગેંગને વેચતા હતાં. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ડિજિટલ એરેસ્ટની એક ફરિયાદ થઇ હતી. આ બાબતે ફરિયાદીને જે નંબર પરથી ફોન આવ્યો તેની તપાસ કરી ત્યારે જે વ્યક્તિના નામનું સીમકાર્ડ હતું તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન વ્યક્તિએ જણાવ્યું હતું કે 14 અને 16 ઓગસ્ટના રોજ તે ચાંદલોડિયા તળાવ પાસે આવેલા એરટેલના એજન્ટને મળ્યા હતા. એજન્ટે અજાણ્યા શખ્સના નામે સીમકાર્ડ મેળવી લીધાઆ એરટેલ એજન્ટ રોડ પર છત્રી લગાવીને સીમકાર્ડ વેચી રહ્યો હતો ત્યારે તેઓ તેમના પિતાના નામથી પોતાના નામે સીમકાર્ડ કરાવવા માટે ગયા હતા તેના માટે તેમણે તેમના ડોક્યુમેન્ટ પણ આપ્યા હતા, પરંતુ એરટેલના એજન્ટે પ્રોસેસ થઈ ન હોવાનું જણાવી પરત મોકલ્યા હતા. આ દરમિયાન એરટેલના એજન્ટે તેમના નામે સીમકાર્ડ મેળવી લીધા હતા. ત્રણ આરોપીઓની ધરપકડ એજન્ટે જ આ સીમકાર્ડ સાઇબર ગઠીયાઓને વેચતો હોવાની શંકા હતી જેથી સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ટેકનિકલ એનાલિસીસના આધારે આરોપીની ઓળખ કરી બે ટીમ બનાવી અમદાવાદ,રાધનપુર પાટણ અને રાજસ્થાન ખાતે મોકલવામાં આવી હતી જે ટીમે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં વિજય રાવળ,શુભમ પરાડિયા અને કિરણ ઠક્કરની ધરપકડ કરી હતી. નવા સીમકાર્ડ લોકોની જાણ બહાર મેળવી લેતાઆરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વિજય રાવળ નામનો આરોપી છત્રી વાળો એરટેલ એજન્ટ છે.જે છત્રી લઈને સીમકાર્ડ લગતું કામકાજ કરે છે.ફરિયાદીને તેમના પિતાજીના નામના સીમકાર્ડ ટ્રાન્સફર કરવાનું કહીને તેમના ડોક્યુમેન્ટ પર નવા સીમકાર્ડ તેમની જાણ બહાર મેળવી લીધા હતા અને 400 રૂપિયા કમિશન રાખી શુભમ પરાડીયા નામના આરોપીને આપ્યા હતા.શુભમ પરાડીયાએ આ સીમકાર્ડ 700 રૂપિયા કમિશન મેળવી કિરણ ઠક્કાને આપ્યા હતા.કિરણ ઠક્કરે આ સીમકાર્ડ મેળવી 1200 કમિશન લઈ આ સીમકાર્ડ 1,500 રૂપિયામાં દુબઈ મારફતે કંબોડિયા મોકલાવ્યા હતા. કંબોડિયા દેશમાં બેઠેલી સાયબર ગેંગની કરતૂતઆ રીતે મેળવેલા સીમકાર્ડનો ઉપયોગ ડિજિટલ એરેસ્ટ જેવા સાઇબર ક્રાઇમના ગુના આચરવા માટે કંબોડિયા સહિતના અલગ અલગ દેશમાં બેઠેલી સાયબર ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાઇબર ગઠિયાઓ આવા અનેક લોકલ એજન્ટનો સંપર્ક કરી તેમની પાસેથી પૈસા આપીને સીમકાર્ડ મેળવી લે છે અને આ સીમકાર્ડ પરથી લોકોને ઠગીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવે છે. આ પ્રકારના ગુનામાં પોલીસ અહીંના લોકલ એજન્ટ સુધી પહોંચી શકે છે કારણકે મુખ્ય ભેજાબાજ આરોપીઓ વિદેશમાં બેસીને લોકોને ઠગતા હોય છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં બહેન સાથે ઝઘડો કરી રહેલા બનેવીએ વચ્ચે છોડાવવા પડેલા સાળાને ધક્કો મારતા પડી જવાથી મોત થયું છે. આ બનાવમાં પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવ્યું હતું. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પતિ-પત્નીના ઝઘડામાં સાળાનું મોતપ્રાપ્ત માહિતી અનુસાર, લિંબાયતના છત્રપતિ શિવાજી નગરમાં રહેતા 24 વર્ષીય સાબિર સમસુદીન શેખ અપરીણિત હતો અને રિક્ષા ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. તેની બહેન સાબિરા પ્રસૂતિ માટે પોતાના પિયરમાં આવી હતી. અને તેણીએ પુત્રને જન્મ આપ્યો હતો. જે હાલમાં સાત માસનો છે. ગઈકાલે રાત્રે સબીરાનો પતિ અકીલ પોતાના સાસરે આવ્યો હતો. અકીલે સાબિરને ધક્કો મારતા નીચે પટકયો પોતાના પુત્રને પોતાની સાથે પોતાના ઘરે લઈ જવા બાબતે પત્ની સાબિરા સાથે માથાકૂટ કરતો હતો. પતિ-પત્નીના ઝઘડામાં સાબિર વચ્ચે છોડવા પડ્યો હતો. દરમિયાન બનેવી અકીલે સાબિરને ધક્કો મારતા નીચે પટકયો હતો અને બેભાન થઈ જતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકનું પેનલ પીએમ કરાવતાં સાચું કારણ સામે આવ્યુંઆ બનાવ અંગે લિંબાયત પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. આ બનાવમાં પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવ્યું છે. જે રિપોર્ટમાં મોતનું સાચું કારણ સામે આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે અચેર ગામના બળદેવનગર વિસ્તારમાં રહેતાં 29 રહેવાસીઓ દ્વારા દાખલ કરેલી અરજીઓને રદ્દ કરી છે. રહેવાસીઓએ AMC દ્વારા આપવામાં આવેલા ખસેડવાના આદેશને પડકાર્યો હતો, જેમાં રસ્તા પહોળા કરવાની યોજનાને કારણે જગ્યા ખાલી કરીને સત્તાધિકારીઓને સોંપવા જણાવાયું હતું. AMCની મકાન ખાલી કરવાની નોટિસ સામે હાઇકોર્ટમાં અરજીસાબરમતી તાલુકામાં બળદેવ નગરના 29 રહેવાસીઓએ પણ AMCની મકાન ખાલી કરવાની નોટિસ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ 29 અરજદારોએ એડવોકેટ વિક્રમ ઠાકોર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહેવાયું હતું કે 21 મે ના રોજ AMC દ્વારા તેમને 07 દિવસમાં મકાનો ખાલી કરી દેવા નોટિસ પાઠવવામાં આવી હતી. આ વિસ્તાર બળદેવ નગર, અચેરમાં છે.અહીં 1984 માં રોડ બનાવવાની TP સ્કીમમાં જોગવાઈ કરાઈ હતી. પરંતુ જમીનના મૂળ માલિકે તેના પ્લોટ પાડો લોકોને ભાડે આપ્યા હતા. તેઓ 60 વર્ષથી અહીં રહી રહ્યા છે. 100 જેટલા પાકા મકાનો તૂટતા 01 હજાર જેટલા લોકોને અસરબળદેવનગરને સ્લમ ક્લિયરન્સ એરિયા જાહેર કરાયો છે. છત્તા તેના રીડેવલપમેન્ટની કોઈ વાત કરવામાં આવી નથી. તેઓએ કાનૂની રીતે વીજળી, પાણીના કનેક્શન મેળવેલ છે અને AMCનો ટેક્સ પણ ભરે છે. અહીં 24 મીટર પહોળો TP રોડ બનાવવાની વાત છે. આમ 1984 ની TP સ્કિમનો અમલ 41 વર્ષ બાદ કરાઈ રહ્યો છે. અહીં 100 જેટલા પાકા મકાનો તૂટતા 01 હજાર જેટલા લોકોને અસર થશે. ખરેખરમાં TP સ્કિમ 1984ની હવાલો અને ભારત 2036 માં ઓલિમ્પિકની યજમાની કરે તેવી શકયતાઓને જોતા આ વિસ્તારમાં વિકાસ કરાઈ રહ્યો છે. જેમાં 24 મીટર પહોળો રોડ બનાવવાની વાત છે. 49 અરજદારોએ AMC ની નોટિસને હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતોહાઈકોર્ટે કહ્યું છે કે અરજદારોને અપીલમાં આપવામાં આવેલી સૂચના મુજબ જગ્યા ખાલી કરીને શાંતિપૂર્ણ રીતે સત્તાધિકારીઓને સોપવાની રહેશે. સાથે જ હાઈકોર્ટે અરજદારોને વૈકલ્પિક રહેઠાણ માટે યોગ્ય સત્તાધિકારીઓ પાસે અરજી કરવાની છૂટ આપી. હાઈકોર્ટે તેના આદેશને બે અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો છે. જેથી રહેવાસીઓ અપીલ કરી શકે.ઉલ્લેખનીય છે કે આવા જ બીજા એક કેસમાં અમદાવાદ શહેરના સાબરમતી તાલુકામાં આવેલા અચેર ગામના સુભાષનગરમાં રહેતા લોકોને AMC દ્વારા ગત એપ્રિલ મહિનામાં 07 દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. જેની સામે AMC સમક્ષ રહેવાસીઓએ રજૂઆત પણ કરી હતી. જો કે તે રજૂઆત નકારી દેવાતા 49 અરજદારોએ AMC ની નોટિસને હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. હાઇકોર્ટે અરજદારોની અરજી નકારી હાઇકોર્ટે ગત મે મહિનામાં અરજદારના વકીલ અને સરકારી વકીલને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. જેને સપ્ટેમ્બર મહીનામાં જાહેર કરતા હાઇકોર્ટે અરજદારોની અરજી નકારી નાખીને શાંતિપૂર્ણ રીતે જગ્યા AMC ને સોંપવા હુકમ કર્યો હતો. અરજદારો તરફથી પુનઃવસનની માગસુભાષ નગરના 49 અરજદારોએ એડવોકેટ દિલીપ ગઢવી દ્વારા અરજી કરી કરી હતી. જેમાં જણાવાયુ હતું કે, તેઓ પાછલા 20થી 30 વર્ષોથી સુભાષનગર, અચેર ખાતે રહે છે. 2020માં આ ટીપી સ્કીમ ઉપરના વિસ્તારને સ્લમ એરિયા જાહેર કરાયો છે. તેના કાયદાને અનુસર્યા વગર જગ્યા ખાલી કરાવી શકાય નહીં. અરજદારોએ ઓથોરિટી સમક્ષ પણ રજૂઆત કરી હતી. અહીં વસતા લોકોના પાકા મકાનો છે. જેમાં કાયદેસરના વીજળી અને પાણીના કનેક્શન છે. તેઓ AMCનો ટેક્સ ભરે છે. પાકા મકાનો તોડીને રસ્તો બનાવવો જોઈએ નહીં, આ તેમના બંધારણીય હકોનો ભંગ છે. અરજદારો તરફથી પુનઃવસનની માંગ પણ કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલ મુજબ અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલાઈઝ થઈ ચૂકી છે. તે દરમિયાન તેને પડકારવામાં આવેલ નથી. એક વખત ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઈનલ થઈ જાય ત્યારબાદ રોડ બનાવવા માટે જગ્યા ખાલી કરવી જ પડે. આ માટે સરકારી વગેરે કોર્ટના અગાઉના ચુકાદા પણ હાઇકોર્ટ સમક્ષ મૂક્યા હતા. 'નિયમો મુજબ જે લોકો લાયકાત ધરાવતા હશે, તેમનું પુનઃવસન થશે'બીજી તરફ કોર્ટે જણાવ્યું હતું કે સ્લમ્સ એક્ટ ફક્ત ભાડુઆતોને જ રક્ષણ આપે છે, માલિક અને કબજેદારોને નહીં. તે માટે તેમણે સરકારમાં રજૂઆત કરાવી પડે AMCના જણાવ્યા મુજબ TP સ્કીમના ફાઈનલાઈઝેશનને કોર્ટ સમક્ષ ચેલેન્જ કરાયેલ નથી. પ્લોટ 486ને સ્લમ અપગ્રેડેશન માટે રાખવામાં આવેલ છે. નિયમો મુજબ જે લોકો લાયકાત ધરાવતા હશે, તેમનું પુનઃવસન કરવામાં આવશે.
રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાની માથું છુંદેલી હાલતમાં લાશ મળી આવી હતી અને પોલીસ તપાસમાં તેનો પતિ જ હત્યારો હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે ઘરથી 200 મીટર દૂર ખુલ્લા પટમાં મૃતદેહ મળી આવ્યો હતોરાજકોટના રાયધાર રોડ પાસે કોપર ગ્રીન સોસાયટી વિસ્તારમાં ગઈકાલે સાંજે પાણીપુરી ખાવા નીકળેલી મહિલાનો મૃતદેહ ગઈકાલે સવારે ઘરથી માંડ 200 મીટર દૂર ખુલ્લા પટમાં મળી આવ્યો હતો. મહિલાનું માથું છુંદાયેલું હતું અને ગંભીર ઈજાઓ હોવાથી હત્યાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, DCP ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પાણીપુરી ખાવા જાઉં છું, મને ત્યાંથી તેડતા જજોમહિલાના પતિ હિતેશભાઈ આસોડિયાએ જણાવ્યું હતું કે, મારી પત્નીએ ગઈકાલે રાત્રે મને ફોન કરી કહ્યું હતું કે પાણીપુરી ખાવા જાઉં છું. મને એમ પણ કહ્યું હતું કે, મને ત્યાંથી તેડતા જજો, જેથી હું બહારથી ઘરે આવતો હતો, ત્યારે ત્યાંથી નીકળ્યો પરંતુ મારી પત્ની મને ક્યાંય ન મળી. જે બાદ હું ઘરે આવ્યો ત્યારે ઘરની લાઈટ ચાલુ હતી. લોક ખોલ્યા બાદ હું અંદર ગયો તો તેનો મોબાઈલ પણ ચાર્જિંગમાં પડેલો હતો. અમારે નાના-મોટા ઝઘડો થતા હતા, પરંતુ આવો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મારી પત્નીનું મૃત્યુ થઈ જશે. મને માનવામાં આવતું નથી કે મારી પત્નીનું મૃત્યુ થયું છે. મારા ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા છે અને હું મારા પત્ની અને પુત્ર સાથે અહીં રહું છું. મારો બે વર્ષનો પુત્ર શિવાંશ છે.
આણંદમાં સાંસદ ખેલ મહોત્સવ 2025 સંપન્ન:3,000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો, સાંસદે ઈનામો વિતરિત કર્યા
આણંદ જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ 2025 સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ નવ દિવસીય રમતગમત મહાકુંભમાં 3,000 થી વધુ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મહોત્સવનું આયોજન આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ખો-ખો, કબ્બડી, વોલીબોલ, રસ્સાખેંચ, બેડમિન્ટન, કરાટે, સ્વિમિંગ અને ચેસ જેવી આઠ વિવિધ રમતોમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને યુવા રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવે જિલ્લાના રમતગમત ક્ષેત્રે નવો માઈલસ્ટોન સ્થાપ્યો છે. સ્પર્ધાઓ બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં, આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર ગ્રાસરૂટ સ્તરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેથી દરેક તાલુકાના પ્રતિભાશાળી ખેલાડીઓને ભાગ લેવાની તક મળી શકે. બીજા તબક્કામાં, બાકરોલ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિલ્લા કક્ષાની ફાઇનલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવે આણંદ જિલ્લામાં રમતગમત સહભાગિતાનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. સમાપન સમારોહમાં સાંસદ મિતેષભાઈ પટેલે વિજેતા ખેલાડીઓને ઈનામો વિતરિત કર્યા હતા અને તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતના પ્રખ્યાત અઘોરી મ્યુઝિકનો જીવંત કોન્સર્ટ પણ યોજાયો હતો. ઈનામ વિતરણ સમારોહમાં સંબોધન કરતાં સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે આણંદ જિલ્લાના 3000 થી વધુ યુવા ખેલાડીઓએ જે જુસ્સો અને સ્પોર્ટ્સમેનશિપ બતાવી છે, તે આપણા જિલ્લાનું ગૌરવ છે. આ માત્ર એક સ્પર્ધા નથી, આ આપણા યુવાનોને ઓલિમ્પિક તરફ લઈ જવાની યાત્રા છે. તેમણે ઉમેર્યું કે 2030માં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ આવશે અને આજે અહીં રમનારા ખેલાડીઓમાંથી જ આવતીકાલના ચેમ્પિયન્સ નીકળશે. સાંસદ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'ફિટ ઈન્ડિયા'ના વિઝનને સાકાર કરવા આણંદ જિલ્લાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મહત્વપૂર્ણ ખેલ મહોત્સવને સફળ બનાવવામાં પાવરગ્રીડ, જેટકો, નાફેડ, અમુલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ONGC અને બેંક ઓફ બરોડાએ નાણાકીય સહયોગ પૂરો પાડ્યો હતો. સાંસદ ખેલ મહોત્સવ 2025 માત્ર એક સ્પર્ધા નહીં, પરંતુ આણંદ જિલ્લાના રમતગમત ભવિષ્યની નવી શરૂઆત સાબિત થયો છે. આ મહોત્સવે દર્શાવ્યું કે જ્યારે સરકારી દૂરદર્શિતા, કોર્પોરેટ સહયોગ અને યુવાનોનો જુસ્સો એક થાય છે, ત્યારે અસાધારણ પરિણામો મળે છે. આણંદના આ યુવા ખેલાડીઓ આવતીકાલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચે ભારતનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ દ્વારા વિધાર્થી જીવનમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા નું મહત્વવિષય પર વિશેષ સત્રનું તા.24/11/2025નાં રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ બે કલાકના પ્રેરણાદાયી સત્રનું સંચાલન સ્વાધ્યાય પરિવારના સભ્યો કૌશલ શાહ, જૈમિન જોષી અને પાર્થ માંડલિકે કર્યું. કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગીતા ની શિખામણો કેવી રીતે વ્યક્તિના ચરિત્ર, મનોબળ તથા એકાગ્રતા વિકસાવે છે તે અંગે માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને *માગસર મહિનામાં ગીતા પાઠ*ના આધ્યાત્મિક અને વ્યવહારિક મહત્વ પર વક્તાઓએ પ્રકાશ ફેંક્યો. આ કાર્યક્રમનું સંચાલન ઈન-ચાર્જ ડો. માર્ગી દેસાઈ અને ડો. અરુણ મેનન દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડો. એન. ડી. શાહ*ના કુશળ માર્ગદર્શન અને પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા વધુ એક પાકિસ્તાની યુગલને ઝડપી પાડવામાં આવ્યું છે. પીલર નંબર 1016 પાસે પાકિસ્તાનના મીઠી ગામના વતની પોપટ કુમાર (ઉંમર 24,) અને ગૌરીને પકડવામાં આવ્યા હતા. સરહદી વિસ્તાર કુડા ગામ પાસેથી આ બન્નેને ઝડપી પાડવામાં આવ્યાં છે. BSF દ્વારા પકડાયેલા યુગલની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે આવતીકાલે બાલાસર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ખડીર અને રાપર તાલુકામાં અવારનવાર પાકિસ્તાની શખ્સો પકડાય છે. બે મહિના પહેલા પણ રતનપર ખડીર વિસ્તારમાંથી તોતો અને મીના નામના પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા હતા.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ વિભાગ અંગે કરાયેલા વિવાદિત નિવેદનના વિરોધમાં ભુજમાં પોલીસ પરિવારો દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ રેલી જિલ્લા ટ્રાફિક કચેરીથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન કેટલાક વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પોલીસ પરિવારોને સમર્થન આપ્યું હતું. પોલીસ પરિવારોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત કરીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, તેમણે મેવાણીને તેમના વિવાદિત નિવેદન બદલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની પણ માંગ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25મી નવેમ્બરે નવસારી જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ કુલ 475.08 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત, જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ પણ કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે 205.07 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીના હસ્તે જેટિંગ-સક્શન મશીનો, ટિપર્સ, ઈ-વ્હીકલ્સ અને જાહેર પરિવહનની 12 બસોને લીલી ઝંડી આપવામાં આવશે. લોકાર્પણ થનારા કામોમાં 5.41 કરોડ રૂપિયાના ખર્ચે જેટિંગ-સક્શન મશીનો, ટિપર્સ, ઈ-વ્હીકલ્સ અને 12 જાહેર પરિવહન બસોનો સમાવેશ થાય છે. આ સેવા સશક્તિકરણના કામો શહેરની સુવિધાઓમાં વધારો કરશે. ખાતમુહૂર્ત અંતર્ગત માળખાકીય સુવિધાઓના અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 6.12 કરોડના ખર્ચે મિથિલાનગરી બ્રિજ, 38.07 કરોડના ખર્ચે નવસારી રેલવે સ્ટેશન પર ઓવરબ્રિજનો થર્ડ એપ્રોચ બ્રિજ અને 6 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના ખાતમુહૂર્ત કાર્યોમાં 9.29 કરોડના ખર્ચે મલ્ટી-લેવલ પાર્કિંગ અને બસ ડેપો, 3.13 કરોડના ખર્ચે હેરિટેજ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ, 1.30 કરોડના ખર્ચે શાંતાદેવી માર્કેટ, 0.73 કરોડના ખર્ચે નવું સિવિક સેન્ટર, 1.89 કરોડના ખર્ચે હાંસાપોર ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 3.76 કરોડના ખર્ચે કબીલપોર લેક ડેવલપમેન્ટ, 0.30 કરોડના ખર્ચે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ, 1.75 કરોડના ખર્ચે સ્ટોર્મડ્રેઇન નેટવર્ક, 1.58 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ સંપ, 1.73 કરોડના ખર્ચે સોલાર પેનલ્સ અને 2.50 કરોડના ખર્ચે નવીન પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. વધુમાં, નવસારી મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ ચાર ગામોમાં પણ વિકાસ કાર્યો હાથ ધરાશે. હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીમાં 46.72 કરોડના ખર્ચે ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્ક નાખવામાં આવશે. જ્યારે એરુ ગામમાં 64.47 કરોડના ખર્ચે ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ નવસારી શહેર અને આસપાસના ગામોના માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવશે. નવસારી જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત અંતર્ગત આજે મુખ્યમંત્રીના હસ્તે ₹93.93 કરોડના કુલ 12 લોકાર્પણ અને માટે ₹ 381.15 કરોડના 26 કામોના ખાતમૂહુર્ત મળી સમગ્ર જિલ્લામાં કુલ 38 કામો માટે કુલ ₹ 475.08 કરોડના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, નવસારીના ₹ 5.16 કરોડના ખર્ચે 04 કામો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ₹ 82.07 કરોડના ખર્ચે બનાવેલ અધ્યતન સુવિધાયુક્ત બસડેપો, કાર્યપાલક ઈજનેરની કચેરી, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લી.સુરતના 16.64 કરોડના ખર્ચે 1 કામ, કાર્યપાલક ઇજનેરની કચેરી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારીના ₹ 166.15 કરોડના ખર્ચે 5 કામો અને નવસારી મહાનગરપાલિકાના ₹ 205.07 કરોડના ખર્ચે 27 કામોનુ લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.
પોલીસ મહાનિદેશક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા 17 નવેમ્બર, 2025ના રોજ એક સૂચના જારી કરવામાં આવી હતી. આ સૂચના મુજબ, છેલ્લા 30 વર્ષમાં હથિયાર ધારા, એન.ડી.પી.એસ. એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, બનાવટી ચલણી નોટો, ટાડા, પોટા, મકોકા, યુ.એ.પી.એ. અને પેટ્રોલિયમ ધારા જેવા વિવિધ કાયદા હેઠળ પકડાયેલા આરોપીઓની તપાસ કરવાની હતી. તેમનો ઉદ્દેશ્ય તેમની વર્તમાન પ્રવૃત્તિઓ ચકાસીને પરિવાર, મિત્રો, સંબંધીઓ, મિલકતો અને સંપર્કો જેવી માહિતી એકત્રિત કરીને ડોઝિયર્સ તૈયાર કરવાનો હતો. આ સૂચનાના આધારે, રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં 100 કલાકની સમય મર્યાદામાં ઉપરોક્ત ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ આ માટે 75થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી હતી. જિલ્લાના 20 પોલીસ સ્ટેશન, SOG, LCB અને પેરોલ સહિત કુલ 70 ટીમો દ્વારા ઉપરોક્ત ગુનાઓના 1193થી વધુ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ કોમ્બિંગ હાથ ધરીને 100 કલાકની કામગીરી દરમિયાન 807થી વધુ આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા અને તેમનું વેરિફિકેશન કરવામાં આવ્યું. તપાસ દરમિયાન, 31 આરોપીઓ હાલમાં જેલમાં હોવાનું જણાયું હતું, જેમની જેલની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલા તમામ વ્યક્તિઓની વર્તમાન અને ગુનાહિત પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવી હતી. તેમની પરિવાર, મિત્રો, સંબંધીઓ, મિલકતો, સંપર્કો, આધાર કાર્ડ, બેંક વિગતો અને સોશિયલ મીડિયાની માહિતી એકત્રિત કરીને ડોઝિયર્સ ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં, આ આરોપીઓના અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ અથવા પ્રવૃત્તિઓ તેમજ દેશમાં ક્યાંય પણ આચરેલા ગુનાઓની ચકાસણી માટે ICJS પોર્ટલ અને e-GujCop જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી છે. આમ, રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 100 કલાકની અંદર ગુનાહિત આરોપીઓને શોધી કાઢી તેમની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે.
પોરબંદર જિલ્લામાં 480થી વધુ શિક્ષકો બિન-શૈક્ષણિક કામગીરીમાં વ્યસ્ત હોવાથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપાલોને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. હાલમાં શિક્ષકો એલબીએ (LBA) અને બીએલઓ (BLO) જેવી બિન-શૈક્ષણિક કામગીરીમાં રોકાયેલા છે. શિક્ષકોની અછત વચ્ચે આ વધારાની જવાબદારીઓના કારણે વિદ્યાર્થીઓના મૂળભૂત શિક્ષણ પર સીધી અસર પડી રહી છે, જેનાથી શૈક્ષણિક ગુણવત્તા પર નકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે શિક્ષકો પર વધતા કામના બોજને કારણે માનસિક તાણ સર્જાઈ રહ્યું છે. તાજેતરમાં ગીરસોમનાથ જિલ્લામાં એક શિક્ષકે આત્મહત્યા કરી હતી, અને અન્ય જિલ્લાઓમાં પણ શિક્ષકોને હૃદયરોગના હુમલા આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ઘટનાઓ કાર્યભાર હળવો કરવાની માંગને વધુ મજબૂત બનાવે છે.શાળાઓમાં પૂરતા ક્લાર્ક અને ઓપરેટર ન હોવાથી પ્રિન્સિપાલો અને શિક્ષકોને શૈક્ષણિક સિવાયની દરેક કામગીરી જાતે જ સંભાળવી પડે છે. આના પરિણામે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. શિક્ષણ સંબંધી સંસ્થાઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને વિનંતી કરી છે કે બીએલઓ સહિતની બિન-શૈક્ષણિક કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે. આ જવાબદારીઓ અન્ય વિભાગોને અથવા ખાનગી એજન્સીઓને સોંપવામાં આવે, જેથી શિક્ષકો પોતાનું મૂળભૂત કાર્ય — શિક્ષણ — યોગ્ય રીતે કરી શકે.
ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. ટિહરીના પોલીસ અધીક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. આ આખી ઘટનામાં 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. મૃતકોમાં દિલ્હી, ગુજરાત, યુપી અને બેંગલુરુના લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં વડોદરાના મુસાફરનું પણ મોત થયું છે. ખત્રી પોળમાં રહેતા પાર્થસારથી જોશીનું મોતવડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ ખત્રી પોળમાં રહેતા પાર્થ સારથી મધુસુદન જોશી ઉંમર વર્ષ 60)નું આ દુઃખદ ઘટનામાં મોત નીપજ્યું છે. આ ઘટના અંગેના દુઃખદ સમાચાર મળતા ત્રણે બહેનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેઓના પરિવારમાં એકમાત્ર ભાઈ સહારો હતો. આજે ત્રણ બહેનોએ પોતાનો ભાઈ ખોયો છે ત્યારે તેઓ પોતાના ભાઈના આ મોતના સમાચારથી માનવા તૈયાર નથી કે તેઓનો ભાઈ હવે આ દુનિયામાં નથી. મૃતદેહને વડોદરા લાવવામાં આવશેહાલમાં આ સમગ્ર ઘટના અંગે વડોદરા કલેક્ટર તંત્ર દ્વારા સારવાર તેઓના પરિવારમાં જાણ કરવામાં આવી છે. તેઓના મૃતદેહને વતન વડોદરા લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ વડોદરા ખાતે લાવવામાં આવશે. આવતીકાલે મોડી સાંજે કે પરમ દિવસે પાર્થ સારથી મધુસુદન જોશીનો મૃતદેહ વડોદરા આવી શકે છે. પાર્થીસારથી 19 તારીખે વડોદરાથી દહેરાદૂન ટ્રેનમાં નીકળ્યા હતાવડોદરા શહેરના ખત્રી પોળમાં બનેલી ઘટનાને લઇ વડોદરા પૂર્વ મામલતદાર અલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં વડોદરાના પાર્થ સારથી મધુસુદન જોશીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ ચાર પાંચ દિવસ પહેલા ગયા હતા અને બીજી તારીખે પરત આવવાના હતાં. તેઓના ઘરે ત્રણ બહેનો છે. તેઓના મૃતદેહ અંગેની વિગતો આપીશું. મૃતદેહ ત્યાંથી નિકળે પછી આ બાબતે ખબર પડશે. પાર્થ સારથી જોશી 19 નવેમ્બરે વડોદરાથી ટ્રેન મારફતે દેહરાદુન જવા નીકળ્યાં હતાં. 1 ડિસેમ્બરે પાર્થ સારથી જોશી વડોદરા પરત આવવાનાં હતાં. વડોદરાથી મથુરા અને મથુરાથી દેહરાદૂન ટ્રેન મારફતે પહોંચ્યા હતાં. ઋષિકેશમાં શિબિરમાં ભાગ લેવા ગયા હતાં.

26 C