મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. સરકારના જાહેરનામા અનુસાર, નશા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીના બેફામ વેચાણ પર અંકુશ લાવવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાલાસિનોર ટાઉન પીઆઇ એ.એન. નિનામા અને તેમની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન પાન પાર્લરોમાં ગોગો સ્મોકિંગ પેપર, રોલિંગ પેપર તેમજ પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ અંગે વિગતવાર તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ બાલાસિનોર શહેરના બજાર વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે નશા વિરોધી અભિયાન અંતર્ગત આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી શહેરમાં ગેરકાયદેસર નશીલી સામગ્રીના વેચાણ પર નિયંત્રણ લાવી શકાય.
જામનગરમાં ટાઉનહોલ સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપ દ્વારા કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને હેરાન કરાતું હોવાના આક્ષેપ સાથે આ દેખાવો યોજાયા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના પ્રમુખ સહિત 35 કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત મળ્યા બાદ પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે સત્તાધારી ભાજપ ED જેવી એજન્સીઓનો દુરુપયોગ કરીને તેમના નેતાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં, જિલ્લા ભાજપ કાર્યાલય નજીક, અનેક કોંગ્રેસ કાર્યકરો હાથમાં બેનર-પોસ્ટર લઈને ઉતરી પડ્યા હતા. આ વિરોધ પ્રદર્શનને કારણે ટાઉનહોલ સર્કલમાં ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે કોંગ્રેસના અગ્રણીઓ સહિત કુલ 35 કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા લોકોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, અન્ય કોર્પોરેટરો અને કાર્યકરોનો સમાવેશ થાય છે. જોકે, મોડેથી આ તમામ કાર્યકરોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
બોટાદમાં ખેલ મહાકુંભ સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ:50 ખેલાડીઓએ ભાગ લીધો, વિવિધ વયજૂથમાં સ્પર્ધા
બોટાદ શહેરમાં નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ખાતે રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં અંદાજે 50 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિવિધ વયજૂથોમાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાની ક્ષમતા દર્શાવી હતી. રમતગમત વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમથી યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધ્યો હોવાનું જોવા મળ્યું. આ સ્પર્ધા અંગે સ્કૂલના આચાર્ય મહેશભાઈ ઝાપડીયા અને વ્યાયામ શિક્ષક ઉમંગ ડાભીએ માહિતી આપી હતી.
જૂનાગઢ શહેરના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મકાનોના વેચાણ અને વિધર્મીઓના પ્રવેશને લઈને ફરી એકવાર વિવાદ ગરમાયો છે. શહેરના સ્વસ્તિક નગર અને નંદનવન રોડ વિસ્તારના સ્થાનિકોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈને એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રહેવાસીઓનો આક્ષેપ છે કે જાણીજોઈને હિન્દુ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકોને મકાનો અપાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ મામલે જો વહેલી તકે નિરાકરણ લાવી ‘અશાંત ધારો’ લાગુ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સ્વસ્તિક નગર નંદનવન રોડ પર આવેલી એક સોસાયટીમાં ગીતાબેન જીતુભાઈ સોલંકીનું મકાન આવેલું છે. આ મકાન પર તેઓએ પિરામલ હાઉસિંગ ફાઇનાન્સમાંથી લોન લીધેલ હતી, પરંતુ લોન ભરપાઈ ન થઈ શકતા ફાઇનાન્સ કંપની દ્વારા મકાનને સીલ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે આ ફાઇનાન્સ કંપનીના મેનેજર લઘુમતી સમાજમાંથી આવે છે અને તેઓ જાણીજોઈને આ મકાન પોતાના જ સમાજના કોઈ વ્યક્તિને અપાવવા માટે તજવીજ કરી રહ્યા છે.હિન્દુ વિસ્તારમાં આ રીતે મકાન ફાળવીને સ્થિતિ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિક રહીશ કુંદનબેન પુરોહિતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ક્રિષ્ના પાર્ક અને અનુરાધા સોસાયટીમાં વર્ષોથી રહીએ છીએ. આ સંપૂર્ણ હિન્દુ વિસ્તાર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં મકાનો ખરીદવા માટે અન્ય ધર્મના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે મકાનો લોન પર હોય અને જપ્ત થયા હોય તેને રાતોરાત ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દેવાય છે. જો આ સિલસિલો ચાલુ રહેશે તો અમારા વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની જશે અને મકાનોની કિંમતો પણ ઘટી જશે. અમારી એક જ માંગ છે કે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરવામાં આવે. જૂનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ પણ આ ચળવળને ટેકો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવા માટે છેલ્લા 3 વર્ષથી લડત ચાલી રહી છે. ખાસ કરીને ખામધ્રોળ સોસાયટી અને જોષીપરાના સરહદી વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવો અત્યંત અનિવાર્ય છે. આ અંગે સરકાર અને કલેક્ટરને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. હાલમાં આ માટે એક કમિટીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ છે. સર્વેનો અહેવાલ આવ્યા બાદ સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. સ્થાનિક મહિલાઓએ મોટી સંખ્યામાં ઉમટી પડીને એસપી કચેરીએ ઉગ્ર રજૂઆતો કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વિધર્મીઓના પ્રવેશથી ભવિષ્યમાં સાંપ્રદાયિક તણાવ ઊભો થવાની ભીતિ છે. લોકોનું કહેવું છે કે જે વિસ્તારમાં આવી સમસ્યાઓ ઉદભવે છે ત્યાં રહેતા લોકોને જ ખબર હોય છે કે તેમણે કેટલી માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં વિલંબ થશે, તો આગામી દિવસોમાં સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
દાહોદમાં સશક્ત નારી મેળાનો પ્રારંભ:રાજ્ય મંત્રી કમલેશ પટેલે સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો
દાહોદ ખાતે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ થયો છે. 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત ટ્રાઇબલ મ્યુઝિયમ, દાહોદ ખાતે રાજ્ય મંત્રી કમલેશ પટેલના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેળાના પ્રારંભ પ્રસંગે મંત્રી કમલેશ પટેલે વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. તેમણે સ્વદેશી ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી અને ફૂડ પ્રોસેસિંગ સંબંધિત પ્રવૃત્તિઓ અંગે સ્ટોલ ધારકો સાથે સંવાદ કર્યો. આ ઉપરાંત, તેમણે આદિવાસી મ્યુઝિયમની પણ મુલાકાત લઈ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, વેશભૂષા અને જીવનશૈલીની ઝાંખી નિહાળી હતી. આ મેળામાં સ્વસહાય જૂથો, સખી મંડળોની બહેનો, લખપતિ દીદીઓ અને પ્રાકૃતિક ખેતી કરતી મહિલા ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલો ગોઠવવામાં આવ્યા છે. રાજ્ય મંત્રીએ દરેક સ્ટોલ પર જઈ ઉત્પાદન પદ્ધતિ, આવકના સ્ત્રોતો અને બજાર સુધી પહોંચવા માટેના પ્લેટફોર્મ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે મહિલાઓના પ્રયાસોને બિરદાવતા સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રી કમલેશ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી' અભિયાનને વધુ ગતિ આપવી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે સ્વદેશી અપનાવવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે અને આત્મનિર્ભર ભારત તરફનું પગલું વધુ દૃઢ બને છે. ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સશક્ત નારી અને સુરક્ષિત નારીનો વિચાર કેન્દ્રસ્થાને હોવો જોઈએ, અને આ દિશામાં સશક્ત નારી મેળો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્વસહાય જૂથો, લખપતિ દીદીઓ અને મહિલા ખેડૂતોને તેમના હસ્તકલા તથા ઉત્પાદનો માટે યોગ્ય બજાર પૂરું પાડવાનો છે. આ સાથે, સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગથી સ્થાનિક રોજગાર સર્જન અને આત્મનિર્ભરતાને વેગ આપવાનો પણ આ મેળાનો હેતુ છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, ધારાસભ્યો મહેશ ભુરીયા અને મહેન્દ્ર ભાભોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.જી. વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો, સખી મંડળોની બહેનો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચના ‘ઓપરેશન કારાવાસ’ હેઠળ છેલ્લા 24 કલાકમાં ત્રણ વર્ષોથી નાસતા-ફરતા રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આમાં 2011ના ચકચારી ડુમ્મસ ગેંગરેપ કેસનો મુખ્ય આરોપી જીતેન્દ્ર ભૂમિહાર, સગીરાનું અપહરણ કરી નેપાળ ભગાડનાર સંજયકુમાર સાહ તેમજ વાહન ચોરીનો આરોપી કલીમ કુરેશીનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે 15 દિવસ સુધી સ્થાનિક મજૂરના વેશમાં આરોપીનો પીછો કર્યોપ્રથમ સફળતામાં, 2011માં ડુમ્મસમાં સગીરા પર ગેંગરેપના કેસમાં આજીવન કેદની સજા પામેલ જીતેન્દ્ર ભૂમિહારને 13 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા હાલતમાં બિહારના શેખપુરાના અંતરિયાળ ખેતરોમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે 15 દિવસ સુધી સ્થાનિક મજૂરો અને ગ્રામીણ વેશમાં રહીને તેનો પીછો કર્યો અને આખરે તેને દબોચી લીધો. આરોપીને ઉમરા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે ગ્રાહક બનીને પોક્સોના આરોપીની ધરપકડ કરીબીજા કેસમાં, ખટોદરામાંથી 14 વર્ષની સગીરાનું અપહરણ કરી નેપાળ ભગાડી જનાર સંજયકુમાર સાહને પાંડેસરા વિસ્તારમાં માટલા વેચતા હાલતમાં પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ જવાનો ગ્રાહક બનીને મહિનાઓ સુધી તેની દુકાને ફરતા રહ્યા અને બાતમીના આધારે તેને ઝડપી લીધો. પોક્સો એક્ટ હેઠળના આ ગંભીર ગુન્હેગારની ધરપકડથી પીડિત પરિવારને ન્યાય મળવાની આશા જાગી છે. 7 વર્ષથી ફરાર વાહન ચોર આરોપીની ધરપકડત્રીજા ઓપરેશનમાં, 2018માં કાપોદ્રાથી સેન્ટ્રો કારની ચોરી કરી 7 વર્ષથી ફરાર કલીમ કુરેશીને અંકલેશ્વર પાસે પાનોલીના ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતા હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને તેના જ કિલ્લામાંથી પકડી લીધો. ‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વર્ષોથી ફરાર આરોપીઓને પકડવા માટે સતત કાર્યવાહી ચાલુક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે, ‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વર્ષોથી ફરાર આરોપીઓને પકડવા માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે, જેથી ગુનેગારોને કાયદાના ચુંગાલમાં લાવીને પીડિતોને ન્યાય અપાવી શકાય. આ ત્રણેય ધરપકડોથી સુરત પોલીસની કાર્યક્ષમતા અને નિષ્ઠાનું ઉદાહરણ સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરના નવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને દુધરેજ વડવાળા મંદિરના મહંત મુકુંદરામજી બાપુની ઉપસ્થિતિમાં આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજનું નિર્માણ કાર્ય માત્ર 115 દિવસના વિક્રમી સમયગાળામાં પૂર્ણ થયું છે. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ બ્રિજ કાર્યરત થવાથી ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા મુસાફરો માટે અવરજવર વધુ સરળ બનશે. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી સુરેન્દ્રનગર આવતા નાગરિકો અને વિદ્યાર્થીઓના સમયની પણ મોટી બચત થશે, જેનાથી ગ્રામીણ કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનશે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, સરકારે તમામ વહીવટી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરીને આ પ્રોજેક્ટને ત્વરિત મંજૂરી આપી હતી. મકવાણાએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર છેવાડાના ગામડાઓ સુધી સલામત અને સુરક્ષિત રોડ નેટવર્ક પહોંચાડવા કટિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આજે ગામડાઓમાં પણ શહેરો જેવી જ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જે રાજ્યના મજબૂત રોડ કનેક્ટિવિટીના માળખાને દર્શાવે છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા, દેવાંગભાઈ રાવલ સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાની મુદ્દે ગુજરાત કોંગ્રેસે ફરી એક વખત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનના આંડકા જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાં 1 એપ્રિલ, 2025થી 3 ડિસેમ્બર, 2025 સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારે સંસદમાં શૂન્ય બતાવી છે. જેથી કોંગ્રેસે સવાલ કર્યો છે કે ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારને જણાવી નથી કે શું ? સંસદમાં રજૂ થયેલા આંકડાઓથી ભાજપ સરકારની ખેડુત વિરોધી નીતિ ખુલ્લી પડી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ખેડૂતો દેવાદાર થતા જેટલું વાવેતર એટલું વળતર આપવા કોંગ્રેસે માગ કરી છે. '42 લાખ હેક્ટરમાં નુકસાન થયો હોવાનો સરકારે પ્રાથમિક અંદાજ આપ્યો હતો'ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસા જેટલી તીવ્રતાથી કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. કિસાન યાત્રા અને જન આક્રોશ યાત્રા બાદ 42 લાખ હેક્ટરમાં નુકસાન થયો હોવાનો સરકારે પ્રાથમિક અંદાજ આપ્યો હતો. ખેડૂતોની સ્થિતિ એટલી નજીક જતી છતાં સરકારે 10 હજાર કરોડની જાહેર કરી હતી. અનેક વિસ્તારના તાલુકાઓની બાદબાકી કરી અને ખેડૂતોને નુકસાની સામે સાવ નજીવું વળતર આપવામાં આવ્યું હતું. 'આવક અડધી થઈ ગઈ જેથી ખેડુત દેવદાર થયો'વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર છતાં નુકસાનની વિગતો શૂન્ય બતાવવામાં આવી. જેથી કેન્દ્રીય સ્તરે વધારાની સહાય મળી શકે તેવી તક પણ ગુમાવી દીધી છે. ભાજપ સરકારની ખેડૂતો વિરોધી નીતિઓનું આ એક ઉત્તમ ઊદાહરણ છે. સરકાર NDRFના નિયમમાં પણ બદલાવ કરે અને ખુલ્લી મન રાખીને ગુજરાતના ખેડૂતોને વિશેષ મદદ કરે તો ખેડુત, ખેતી અને ગામડું બચી શકશે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીના 100 ટકા ડિજિટાઇઝેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. હવે, 19 ડિસેમ્બર, 2025થી 7 ફેબ્રુઆરી, 2026 દરમિયાન મતદારો માટે દસ્તાવેજ સંકલન (ડોક્યુમેન્ટ કલેકશન)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા માટે જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ અન્ય સરકારી કચેરીઓ ખાતે કલેકશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. મતદારો આ સેન્ટરો પર જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકશે. આ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે. 09- ધાનેરા વિધાનસભાના મતદારો માટે પ્રાંત કચેરી, ધાનેરા, મામલતદાર કચેરી, ધાનેરા અને મામલતદાર કચેરી, દાંતીવાડા ખાતે દસ્તાવેજ સ્વીકારાશે. 10- દાંતા વિધાનસભા માટે પ્રાંત કચેરી દાંતા, મામલતદાર કચેરી દાંતા અને મામલતદાર કચેરી, હડાદ ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 11- વડગામ વિધાનસભા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), જિ.પં., બ.કાં., પાલનપુર અને મામલતદાર કચેરી, વડગામ ખાતે કલેકશન સેન્ટરો કાર્યરત છે.આ ઉપરાંત, 12- પાલનપુર વિધાનસભા માટે પ્રાંત કચેરી, પાલનપુર અને મામલતદાર કચેરી, પાલનપુર (ગ્રામ્ય) ખાતે દસ્તાવેજો સ્વીકારાશે. 13- ડીસા વિધાનસભા માટે પ્રાંત કચેરી, ડીસા અને મામલતદાર કચેરી, ડીસા ખાતે વ્યવસ્થા છે. 15- કાંકરેજ વિધાનસભા માટે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પાલનપુર, મામલતદાર કચેરી, કાંકરેજ અને મામલતદાર કચેરી, ઓગડ ખાતે દસ્તાવેજ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પાત્ર મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમયગાળા દરમિયાન સંબંધિત કલેકશન સેન્ટર પર જરૂરી દસ્તાવેજો રજૂ કરી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં સહયોગ આપે. આનાથી કોઈ પણ પાત્ર મતદાર યાદીમાંથી વંચિત ન રહે અને કોઈ અયોગ્ય મતદારનું નામ યાદીમાં સામેલ ન થાય તેની ખાતરી કરી શકાશે.
છોટા ઉદેપુરમાં ટીબી નિદાન કેમ્પ યોજાયો:ભીલપુર આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં 35 દર્દીઓના એક્સ-રે કરાયા
છોટા ઉદેપુર જિલ્લાના પાલસંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ભીલપુર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ટીબી મુક્ત પંચાયત કોમ્યુનિટી મિટિંગ અને નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ ટીબી રોગના નિદાન અને જાગૃતિના ઉદ્દેશ્યથી આયોજિત કરાયો હતો. દેશમાં ટીબીના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગ દ્વારા ટીબીની સારવાર અને નિયંત્રણ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ રાષ્ટ્રીય પહેલના ભાગરૂપે, છોટા ઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગે આ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ નિદાન કેમ્પ દરમિયાન ટીબીના લક્ષણો ધરાવતા કુલ ૩૫ દર્દીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શંકાસ્પદ દર્દીઓના ગળફાના નમૂનાની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. કેમ્પમાં હાજર દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા ટીબી રોગ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમને ટીબીના મુખ્ય લક્ષણો જેવા કે ભૂખ ન લાગવી, વજન ઘટવું, છાતીમાં દુખાવો, સાંજના સમયે તાવ અને ગળફામાં લોહી આવવું વગેરે વિશે માહિતગાર કરાયા હતા. રોગની સારવાર પદ્ધતિઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં ગઈકાલે RTO દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી આ ડ્રાઇવ રોડ સેફટી અંતર્ગત યોજવામાં આવી હતી જેમાં હાઇ વોલ્ટેજ ફોગ લાઈટ વાળા 39 જેટલા વાહનો સામે કાર્યવાહી કરી 1.30 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. રાજકોટના ઇન્ચાર્જ RTO કેતન ખપેડએ જણાવ્યું હતું કે રોડ અકસ્માતમાં ઘટાડો કરવા માટે ખાસ એક ડ્રાઇવ યોજવામાં આવી હતી અને આ ડ્રાઇવ આગળ પણ સતત ચાલુ જ રાખવામાં આવશે. હાઇવે ઉપર હેવી ફોગ લાઈટ, એલઇડી લાઈટથી સામે આવતા વાહનચાલકોની આંખ અંજાય જવાથી અકસ્માત સર્જાય છે જેમાં ગંભીર ઈજાઓ અને મૃત્યુ પણ થવાની શક્યતા હોવાથી ખાસ આ ડ્રાઇવ યોજી ગઈકાલની આ ડ્રાઇવમાં એલ.ઈ.ડી લાઈટ, રેડિયમ રિફલેકટર તથા આર.યુ.પી.ડી. અને એસ.યુ.પી.ડી વગેરે મળી કુલ 39 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં 1.30 લાખ દંડ વસુલ કરવામાં આવ્યો છે. 31st પહેલા વિદેશી દારૂના જથ્થા પર પોલીસની વોચ રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કુવાડવા રોડ ઉપર ત્રિમંદિરની સામે વછરાજ હોટલ પાસેથી જીજે.01.ડબ્લ્યુસી.8315 નંબરની બ્રેજા કારને અટકાવી તલાશી લેતા કારના ચોરખાનામાંથી રૂ.2.58 લાખ કિંમતની વિદેશી દારૂની 500 બોટલ મળી આવી હતી જેથી પોલીસે કાર ચાલક બાબુલાલ પ્રેમચંદ બીલવાલ (ઉ.વ.36)ની ધરપકડ કરી વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ.7.63 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઝડપાયેલ શખ્સની પુછપરછ કરતા પોતે એમપીથી દારૂનો જથ્થો ભરીને લાવ્યાની કબૂલાત આપી હતી જયારે અહીં દારૂનો જથ્થો મંગાવનાર શખ્સનો મોબાઈલ નંબર મળી આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બસપોર્ટથી 16 વર્ષની સગીરા ગુમ ટંકારામાં રહેતી મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની 16 વર્ષની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેના સાસુએ રાજકોટ ખાતે રણછોડદાસ બાપુ આશ્રમમાં આંખનું ઓપરેશન કરાવ્યું હતું જેની તપાસ માટે ગત તા.16 ડિસેમ્બરના રોજ તેના સાસુ સાથે તેની 16 વર્ષની દીકરી પણ રાજકોટ આવી હતી. તપાસ બાદ રાજકોટમાં રહેતા તેના નણંદના ઘરે રોકાયા બાદ ગત તા.17 ડિસેમ્બરના રોજ વૃદ્ધા અને સગીરા ઘરે પરત ફરવા રાજકોટ બસ સ્ટેન્ડે ગયા હતા. ત્યારે સગીરાએ તેની માતાને તેની પાસે રહેલ ફોન દ્વારા જણાવ્યું હતું કે, બસ હજુ આવી નથી બસની રાહ જોઈએ છીએ બાદમાં મહિલાએ 11 વાગ્યા આસપાસ સગીરાને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. મહિલાને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જે ફોન તેમના સાસુએ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે લઘુશંકા માટે ગયા હોય ત્યારે દીકરી બહાર તેની રાહ જોતી હતી. બહાર આવીને જોતા દીકરી ક્યાંક જોવા મળી ન હતી આથી મહિલાએ સાસુને ઘરે પરત આવી જવા જણાવ્યું હતું અને મહિલા અને તેના પતિ રાજકોટ બસ સ્ટેન્ડ આવી આસપાસ તપાસ કરી તેમજ તેના સંબંધીઓના ઘરે પણ તપાસ કરતા કોઈ ભાળ ન મળતા આખરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી સગીરાની શોધખોળ હાથ ધરી છે. ગાંજાના સેવનમાં વપરાતા ગોગો પેપર રોલનું વેચાણ કરતા વધુ ત્રણ વેપારીઓ ઝડપાયા રાજકોટ શહેર એલસીબી ઝોન-1 પીએસઆઇ એમ.કે.મોવલિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન નવાગામ જકાતનાકાની સામે આવેલ દ્વારકાધીશ પાન નામની દુકાન ખાતેથી રૂ.990ની કિંમતના 66 નંગ ગોગો સ્મોકિંગ કોન તેમજ 90 નંગ પ્રતિબંધિત રોલિંગ પેપર મળી કુલ રૂ.1890નો મુદ્દામાલ કબ્જે કરી દુકાન માલિક અર્જુન રેવા બોસરીયા (ઉ.વ.24) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસની ટીમે જંકશન પ્લોટમાં આવેલ જ્યોતિ પાન નામની દુકાનમાં દરોડો પાડી ગોગો સ્મોકિંગ રોલના 20 નંગ કબ્જે કરી વેપારી ઉમંગભાઈ પ્રવીણભાઈ વાડોલીયા (ઉ.વ.36) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજા દરોડામાં પોપટપરા મેઈન રોડ પર આવેલ શક્તિ પાન નામની દુકાનમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગના 15 રોલ કબજે કરી વેપારી વિક્રમસિંહ પ્રતાપસિંહ ઝાલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહીસાગરમાં 1.26 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:LCBએ વાજીયાખુંટ નજીકથી 3 આરોપીઓની ધરપકડ કરી
મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાજીયાખુંટ ત્રણ રસ્તા નજીકથી મહીસાગર એલ.સી.બી.એ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1,26,350 ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 1,37,850 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. એલ.સી.બી. દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સ્કૂલ બેગમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 254 નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન અને સૂચના મુજબ પ્રોહીબીશન વિરોધી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એલ.સી.બી. પીઆઇ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં હિતેષ રામજી ભગોરા, અજય નારાયણલાલ અસોડા (બંને રહે. મીઠી મહુડી, તા. ખેરવાડા) અને દીપક ધનરાજજી પરમાર (રહે. સરેડી ગામ, તા. ખેરવાડા, જી. ઉદેપુર)ની ધરપકડ કરવામાં આવી છે. સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ નિરીક્ષણ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત આ ઇન્સ્પેક્શનમાં આતંકવાદી હુમલા જેવી સંકટની સ્થિતિમાં કેવી રીતે સામનો કરવો તે અંગેની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસે આતંકવાદી સંકટ સમયે કાર્યવાહી કરવાની તૈયારીઓનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકદરબારનું પણ આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યત્વે ટ્રાફિક સમસ્યા પર ભાર મૂકી તેના ઉકેલ માટે ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસકર્મીઓ માટે નવી કેન્ટીનનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારો યોજાયો હતો. આ સમારોહમાં સ્કૂલ ઓફ ટેક્નોલોજી, સ્કૂલ ઓફ સાયન્સ તથા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ લિબરલ આર્ટસના કુલ 632 વિદ્યાર્થીઓ (377 વિદ્યાર્થીઓ અને 255 વિદ્યાર્થિનીઓ)ને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મેડલ વિજેતાઓમાં છોકરીઓએ બાજી મારી હતી. 14 ગોલ્ડ મેડલિસ્ટમાં 10 છોકરીઓ અને 11 સિલ્વર મેડલિસ્ટમાં 8 છોકરીઓને મેડલ્સ પ્રદાન કરવામાં આવ્યા હતા. 14 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 11ને સિલ્વર મેડલ એનાયતદીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે ધ ફર્સ્ટ મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ડૉ. ટેસી થોમસ (વાઇસ ચાન્સેલર, NICHE યુનિવર્સિટી, કન્યાકુમારી) ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે દરેક પ્રવાહમાં પ્રથમ ક્રમાંક મેળવનાર 14 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 11 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કર્યા હતા. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પી.કે. તનેજા, IAS (નિવૃત્ત)એ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરી હતી.. આજીવન શિક્ષણ, શિસ્ત, સમય વ્યવસ્થાપન, નૈતિકતા અને મજબૂત મૂલ્યો....આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ પી. કે. તનેજાએ તમામ સ્નાતક વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે દીક્ષાંતનો આ દિવસ વિદ્યાર્થીઓની મહેનત અને સમર્પણની પરાકાષ્ઠા તથા વાલીઓ માટે સંતોષનો દિવસ છે. તેમણે વિદ્યાર્થીઓને આજીવન શિક્ષણ, શિસ્ત, સમય વ્યવસ્થાપન, નૈતિકતા અને મજબૂત મૂલ્યો અપનાવવા તેમજ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે GSFC લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ કુમાર, ચેરમેન મનોજ કુમાર દાસ, ગુજરાતના મુખ્ય સચિવ તથા ગવર્નિંગ બોડીના સભ્યોનો અવિરત સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. 'આ સિદ્ધિ પરિશ્રમ, ધીરજ અને સર્જનાત્મકતાનું પરિણામ'મુખ્ય અતિથિ ડૉ. ટેસી થોમસે જણાવ્યું કે, આ સિદ્ધિ પરિશ્રમ, ધીરજ અને સર્જનાત્મકતાનું પરિણામ છે અને હવે નવી જવાબદારીઓનો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. તેમણે GSFC યુનિવર્સિટીના ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગની પ્રશંસા કરી હતી અને ‘વિકસિત ભારત 2047’ તથા ‘વિકસિત ગુજરાત 2047’ના લક્ષ્યો માટે યુવાનોની જવાબદારી પર ભાર મૂક્યો હતો. 'ધીરજ અને દૃઢ વિશ્વાસથી દરેક અવરોધ તકમાં ફેરવાયો'ખાસ કરીને યુવતીઓને સંબોધતાં તેમણે કહ્યું કે નિર્ભયપણે મોટાં સપનાં જુઓ, સાહસપૂર્વક લક્ષ્યો અનુસરો અને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. પોતાના અનુભવ શેર કરતાં તેમણે જણાવ્યું કે મિસાઇલ ટેક્નોલોજી જેવા પુરુષપ્રધાન ક્ષેત્રમાં પ્રવેશતી વખતે શંકાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ ધીરજ અને દૃઢ વિશ્વાસથી દરેક અવરોધ તકમાં ફેરવાયો હતો. 'મૂળ સાથે જોડાયેલા રહો અને હંમેશા રાષ્ટ્ર માટે વિચારો'અંતમાં તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે ક્યારેય શીખવાનું બંધ ન કરો, સ્થિર રહો, વિનમ્રતાથી નેતૃત્વ કરો, મૂળ સાથે જોડાયેલા રહો અને હંમેશા રાષ્ટ્ર માટે વિચારો. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના કથનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જો સફળ થવાની દૃઢ ઇચ્છા મજબૂત હોય, તો નિષ્ફળતા ક્યારેય પરાજિત કરી શકતી નથી. સમારોહમાં યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, સરકારી અધિકારીઓ, GSFC લિમિટેડ તથા યુનિવર્સિટીના મેનેજમેન્ટના સભ્યો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 'બેચલર પૂર્ણ કરી માસ્ટર કરવા માંગુ છું અને યુ કે જવા માંગુ છું'ગોલ્ડ મેડલ મેળવનાર કુંજ નારોલાએ જણાવ્યું હતું કે, મેં GSFC યુનિવર્સિટીમાં બીએસસી કેમેસ્ટ્રી પૂર્ણ કર્યું છે, જેમાં ઘણા વિષયો મેં પૂર્ણ કર્યા છે. અહીંનું કામ કરવાનું વાતાવરણ ખુબજ સારું હતું અને ખુબજ પ્રોત્સાહન આપવામાં આપવામાં આવતું હતું. વિધાર્થીઓ દ્વારા ઇવેન્ટ કરવામાં આવતી હતી અને આજે આટલી મોટી સિદ્ધિ મેળવી છે. હાલમાં બેચલર પૂર્ણ કરી માસ્ટર કરવા માંગુ છું અને યુ કે જવા માંગુ છું.
સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ શહેરના ઐતિહાસિક ચૌટા બજારમાં વધતા દબાણો અને ગંદકી સામે લાલ આંખ કરી છે. વરાછા બાદ હવે કોટ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશને વેગ આપતા મેયરે સીધી ચેતવણી આપી છે કે જો દુકાનદારો પોતાની દુકાન સામે દબાણકર્તાઓને બેસવા દેશે, તો તેમની દુકાન સીલ કરી દેવામાં આવશે. મેયર અને સુરત પોલીસ કમિશનર ચૌટા બજારની મુલાકાતે પહોંચ્યા હતાસુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી હાલમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. વરાછા વિસ્તારમાં સફળતાપૂર્વક દબાણ હટાવ્યા બાદ હવે મેયરે શહેરના સૌથી વ્યસ્ત અને સાંકડા ગણાતા ચૌટા બજાર તરફ નજર દોડાવી છે. ગુરુવારે મેયર અને સુરત પોલીસ કમિશનર ચૌટા બજારની મુલાકાતે પહોંચ્યા હતા અને માઇક પકડીને જાતે જ દબાણકર્તાઓ અને દુકાનદારોને કડક શબ્દોમાં સમજાવ્યા હતા. નીતિન ભજીયાવાળાના પત્ર બાદ મેયર મેદાનેતાજેતરમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને નેતા નીતિન ભજીયાવાળાએ મેયરને પત્ર લખીને રજૂઆત કરી હતી કે જો વરાછામાં દબાણ દૂર થઈ શકતા હોય, તો ચૌટા બજારમાં કેમ નહીં? આ પત્ર બાદ મેયરે અંગત રસ દાખવીને પોલીસ કમિશનર અને પાલિકાની ટીમ સાથે ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. 'દુકાન સામે દબાણ જણાશે તો દુકાન સીલ થશે' મેયર દક્ષેશ માવાણીએ દુકાનદારોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અમે તમને અહીં સમજાવવા આવ્યા છીએ, જોર-જબરદસ્તી કરવા નહીં. તમે તમારી દુકાનની આગળ કોઈ પણ દબાણકર્તા કે પાથરણાવાળાને બેસવા ન દો. જો તમારી દુકાન સામે દબાણ જણાશે, તો પાલિકાની ટીમ સીધી તમારી દુકાનને સીલ મારી દેશે. ચૌટા બજારમાં CCTC કેમેરાથી હાઇ-ટેક મોનિટરિંગ શરૂ થશેમેયરે જાહેરાત કરી હતી કે હવે ચૌટા બજારમાં ચારેય દિશામાં હાઇ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેના દ્વારા પાલિકા કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરશે. જો કેમેરામાં દબાણ જણાશે, તો પોલીસ અને પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી કરશે. ચૌટા બજારમાં ગંદકી જોઈને મેયર લાલઘૂમ થયા હતા. આખો રોડ દબાવી દેવો એ વ્યાવહારિક વાત નથી. જ્યારે કોઈ ઇમરજન્સી સર્વિસ (એમ્બ્યુલન્સ કે ફાયર) હોય અને ઇન્સિડન્ટ બને, ત્યારે લોકો મેયરને પૂછે છે કે તમે શું કરો છો? 'રોડ પર કચરાના ઢગલા જોવા મળે છે'તેમણે જણાવ્યું કે, સુરત દેશમાં સ્વચ્છતામાં પહેલા નંબરે છે, પરંતુ અહીં રોડ પર કચરાના ઢગલા જોવા મળે છે. જેડીઓ (JDO) ના રિપોર્ટ મુજબ અહીં રોજ ગંદકી થાય છે. તમારા ગ્રાહકો કચરો નાખતા હોય તો તેને રોકવાની જવાબદારી તમારી છે. શાંતિથી ધંધો કરો, પણ રસ્તો ખુલ્લો રાખોમેયરે અંતમાં દુકાનદારોને સહયોગની ખાતરી આપતા કહ્યું કે, અમારો હેતુ કોઈનો ધંધો બંધ કરવાનો નથી. તમે શાંતિથી ધંધો કરો, પાલિકા તમારી સાથે છે. પરંતુ રસ્તો ખુલ્લો રાખવો જ પડશે. તમે આખો રોડ દબાવી દો તે વ્યાજબી નથી. દુકાનદારો અને પાથરણાવાળાઓમાં ફફડાટમેયરની આ આક્રમક મુલાકાત બાદ ચૌટા બજારના દુકાનદારો અને પાથરણાવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સીસીટીવી લાગ્યા બાદ આ વ્યસ્ત બજારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ આવે છે કે નહીં.
હિંમતનગરના હાંસલપુર નજીક આવેલા માનસિક મહિલા દિવ્યાંગ આશ્રમ ખાતે તાલુકા પંચાયત સદસ્ય જીતેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ ભાઈઓ-બહેનો અને ગંગાસ્વરૂપ મહિલાઓને ધાબળાનું વિતરણ કરાયું હતું. હિંમતનગર તાલુકા પંચાયતની વક્તાપુર બેઠકના સદસ્ય જીતેન્દ્રસિંહ ઝાલાએ પોતાનો જન્મદિવસ દિવ્યાંગ ભાઈઓ-બહેનો અને ગંગાસ્વરૂપ મહિલાઓ વચ્ચે ઉજવ્યો હતો. આ ઉજવણીમાં કેક કાપીને સૌને આનંદિત કરવામાં આવ્યા હતા. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, દિવ્યાંગ ભાઈઓ-બહેનો તેમજ વક્તાપુર ગામની ગંગાસ્વરૂપ મહિલાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વંચિત વર્ગ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવાનો હતો. આ પ્રસંગે હિંમતનગર તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પાર્થભાઈ પરમાર, તાલુકા સંગઠન ઉપપ્રમુખ નવલસિંહ ચૌહાણ, નિર્મલાબેન પંચાલ, હાંસલપુર સરપંચ નીતાબેન પ્રજાપતિ, ભીખુસિંહ ઝાલા, રોહિતસિંહ રહેવર, વિનુસિંહ ઝાલા, શાંતિલાલ સોની સહિત મોટી સંખ્યામાં ગંગાસ્વરૂપ મહિલાઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનન અટકાવવા ગયેલી મહેસૂલી ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગત તા. 15/12/2025ના રોજ રાત્રિના સમયે નાયબ મામલતદાર તરુણભાઈ દવે અને તેમની ટીમ પર ખાણ માફિયાઓએ હુમલો કર્યો હતો. આ ઘટના થાનગઢના ભડુલા વિસ્તારની આસપાસ બની હતી. ચોટીલા પ્રાંત અધિકારીની સૂચના મુજબ, નાયબ મામલતદાર તરુણભાઈ દવે અને તેમની ટીમ ગેરકાયદેસર ખનન રોકવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. રાત્રિના 9 કલાક બાદ અસામાજિક તત્વો અને ખાણ માફિયાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આ હુમલો કર્યો હતો. આ હુમલામાં સરકારી ફરજમાં રૂકાવટ લાવવા, કર્મચારીઓને ડરાવવા અને શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદે હથિયારો અને વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહેસૂલી કર્મચારી મંડળે આ ઘટનાને રાજ્યની સત્તા અને કાયદા વ્યવસ્થાના અમલીકરણ પર સીધો હુમલો ગણાવ્યો છે. આ ગુનો ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 353, 109, 351, 352, 189, 194 તથા Mines and Minerals (Development and Regulation) Act, 1957 ની વિવિધ કલમો હેઠળ ગંભીર પ્રકારનો છે. આ ઘટના બાદ મહેસૂલી કર્મચારી મંડળે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને કેટલીક માંગણીઓ કરી છે. તેમની માંગણીઓમાં સદર ઘટનાની તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ, હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ, અને ખાણ માફિયાઓના વાહનો તથા મશીનરી જપ્ત કરીને તેમનો વ્યવસાય કાયમી ધોરણે બંધ કરાવવાનો સમાવેશ થાય છે. મંડળે ડ્યુટી પર રહેતા નાયબ મામલતદાર અને રેવન્યુ ટીમને પૂરતી પોલીસ સુરક્ષા પૂરી પાડવા અને સ્વ-બચાવ માટે હથિયારનું લાયસન્સ આપવામાં અગ્રતા આપવાની પણ માંગ કરી છે. આ ઉપરાંત, જવાબદાર અસામાજિક તત્વો સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરીને દાખલારૂપ કિસ્સો બેસાડવાની અપીલ કરવામાં આવી છે. કર્મચારી મંડળે ચેતવણી આપી છે કે જો આ બાબતે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કર્મચારીઓના મનોબળ પર વિપરીત અસર પડશે. કાયદાનું શાસન જળવાઈ રહે અને સરકારી અધિકારીઓ નિર્ભયપણે પોતાની ફરજ નિભાવી શકે તે માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.
બોટાદમાં વાસ્મોની 26મી બેઠક યોજાઈ:કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને મહત્વના નિર્ણયો લેવાયા
બોટાદ જિલ્લામાં જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતાની કામગીરીને વેગ આપવા માટે તા. 18 ડિસેમ્બર, 2025ના રોજ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની 26મી બેઠક યોજાઈ હતી. બોટાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ગ્રામ્ય સ્તરે પાણી પુરવઠા યોજનાઓના સુચારૂ અમલીકરણ અને છેવાડાના માનવી સુધી શુદ્ધ જળ પહોંચાડવા અંગે મહત્વના નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ગ્રામ્ય સ્તરે આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત અને નિભાવણીની કામગીરી હવે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) અને સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) દ્વારા કરાશે. આ પગલાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધશે અને પાણી પુરવઠા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરોને હેડવર્ક્સ ખાતે વિશેષ તાલીમ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.જે ગામોમાં પાણી વેરાની વસુલાત 0 થી 30 ટકા છે, ત્યાં વસુલાત વધારવા અને પ્રોત્સાહન યોજનાનો લાભ લેવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. કલેક્ટરે પાણી પુરવઠાને લગતી ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા પણ સૂચના આપી હતી. આ ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના બીજા તબક્કાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, 'સોર્સ સસ્ટેનાબિલિટી પ્લાન' (સ્ત્રોત સ્થિરતા યોજના) ને મંજૂરી આપવા બાબતે પણ વિચારણા કરાઈ હતી.
અમદાવાદ શહેરમાં જાહેર પરિવહનની સેવાઓમાં વધારો થાય તેના માટે હવે સિંગલ ટિકિટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. AMTS -BRTSમાં મુસાફરી કરનારા કરનારા મુસાફરો એક જ ટિકિટ લઈને બંનેમાં મુસાફરી કરી શકશે. આગામી એક વર્ષમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. AMTS અને BRTS બાદ મેટ્રો અને એસટી બસ તેમજ ઓલા ઉબેરમાં પણ આ એક જ ટિકિટ વિન્ડો સિસ્ટમ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કંપનીને 12 વર્ષ માટે રૂ. 470 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ થયો છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા ગ્રામ વિકાસ વિભાગના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મેળાનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથની મહિલાઓને 'લોકલ ફોર વોકલ' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બનાવવાનો છે. બોડેલી ખાતે 18, 19 અને 20 તારીખે આ મેળો યોજાશે. કુલ 125 જેટલા સ્વસહાય જૂથોની મહિલાઓએ હાથ બનાવટની વસ્તુઓના સ્ટોલ લગાવ્યા છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ સહિત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઇન્વેસ્ટમેન્ટમાં ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકો પાસેથી નાણાં પડાવી ક્રિપ્ટો કરન્સી દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરનારા બે આરોપીઓની ધરપકડ કરી છે. આહવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદીનો સંપર્ક '1203 શાંતિયાત્રા' અને 'નુવામા T49 ટ્રેડ ઓબ્ઝર્વેશન ગ્રુપ' સાથે સંકળાયેલા હોવાનો દાવો કરનારા અજાણ્યા વ્યક્તિઓએ કર્યો હતો. આરોપીઓએ શેરબજાર અને અન્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મમાં ટૂંકા ગાળામાં સારો નફો અપાવવાની ખાતરી આપી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં નાની રકમ પર નફો દર્શાવી વિશ્વાસ કેળવ્યા બાદ મોટા પ્રમાણમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. ફરિયાદ મળ્યા બાદ આહવા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.એસ. પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ તથા અદ્યતન ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે છેતરપિંડીથી મેળવેલા નાણાં સુરત મારફતે દુબઈમાં યુએસડીટી (ક્રિપ્ટો બાયનાન્સ) એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસે ઝડપી કાર્યવાહી કરી સાયબર માફિયાઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી. પોલીસે ગૌરવ સવજીભાઈ કાકડીયા (રહે. અમરોલી, સુરત) અને ચેતન ગોરધનભાઈ ગાંગાણી (રહે. કામરેજ, સુરત)ની ધરપકડ કરી છે. હાલ બંને આરોપીઓને કસ્ટડીમાં રાખી પી.આઇ. આર.એસ. પટેલ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, ઇન્વેસ્ટમેન્ટના નામે સોશિયલ મીડિયા કે મેસેજિંગ એપ્સ દ્વારા મળતી લોભામણી ઓફરોથી સાવચેત રહે. કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરે અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરે.
કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગઈકાલે સ્કૂલ્સને ધમકી આપ્યા બાદ આજે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.. જો કે 3 કલાક સુધી સઘન ચેકિંગ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારતા ખાખી ભવનનું ઉદ્ઘાટન રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાન માટે તમામ જિલ્લામાં પોલીસ હેડક્વોર્ટર અને SRP મેદાન ખુલ્લા મુકાશે.. મકરબામાં ખાખી ભવનના ઉદ્ઘાટન સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું.આઈપીએસ મેસમાં અપાતી સુવિધા પોલીસ કર્મીઓને આ ખાખી ભવનમાં મળશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આદિવાસીઓને ન્યાય અપાવવા મેવાણી મેદાને બનાસકાંઠા જિલ્લાના દાંતાના પાડલીયા ગામે થયેલા ઘર્ષણ મામલે જીગ્નેશ મેવાણી આદિવાસી સમાજને ન્યાય અપાવવા આકરાપાણીએ થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત આવનારા રાજ્ય બજેટમાં વિસાવાદરના વિકાસ માટે પાંચ મહત્ત્વપૂર્ણ માગ સાથે ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. કહ્યું, માગ પૂરી થશે તો તમામ આગેવાનો સાથે આભાર વ્યક્ત કરીશું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભૂમાફિયાનું ઘર બચાવવા ભાજપ નેતાએ હાથ જોડ્યા સુરેન્દ્રનગરના થાનમાં ભૂમાફિયાનું ગેરકાયદેસર મકાન બચાવવા ભાજપ નેતા મુળૂભા ગઢવીએ પ્રાંત અધિકારીને હાથ જોડ્યા.વીડિયો વાયરલ થતા મૂળુભાએ સ્પષ્ટતા કરી કે રહેણાંક મકાન હોવાથી મે થોડા સમયની માગ કરી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 80 લાખના ઘર માલિકો છતા ઘરે બેઘર સુરતના શિવ રેસિડેન્સીના 400 લોકો છતાં ઘરે બેઘર થયા..બિલ્ડરે સોસાયટીની બાજુમાં ખોદકામ કરતા પ્રોટેક્શન વોલ તૂટી પડી હતી. હજુ પાણીનું લેવલ વધારે હોવાથી ટાવર જોખમમાં છે, જેથી મનપાએ સીલ કરી દેતા લોકોને રહેવાના અને ખાવાના ફાંફા પડ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હોટલમાં પ્રેમી યુગલના આપઘાતના પ્રયાસ મામલે ખુલાસો અમદાવાદની હોટલમાંથી આપાઘાતનો પ્રયાસ કરનાર યુગલ મામલે ખુલાસો...કાકા-ભત્રીજી હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હોવાથી આ પગલું ભર્યું.. યુવકનું મોત થયું છે, જ્યારે યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડમ્પરની અડફેટે 22 વર્ષની યુવતીનું મોત અમદાવાદના ખોખરામાં ડમ્પરે 22વર્ષની યુવતીને ટક્કર મારી.. ટક્કર એટલી ભયાનક હતી કે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગ્રેનાઈટ પાવડરની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ SMCએ મહેસાણા-અમદાવાદ બાયપાસ હાઈવે પરથી ઝડપ્યો દારુ.. બુટલેગરોએ ટ્રકમાં ગ્રેનાઈટ પાવડરની 200 બેગ ભરી 25,747 વિદેશી દારૂની બોટલો છુપાવી હતી. પોલીસે 1.09 કરોડથી વધુનો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત આવતી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી ટી-20 રમાશે.આજે બંને ટીમના ખેલાડીઓ અમદાવાદ આવી જશે. સ્ટેડિયમમાં ઉચ્ચ અધિકારીઓ સિવાય 1500 પોલીસકર્મીનો ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
અમદાવાદના DCB પોલીસ મથકે વર્ષ 2022માં આરોપીઓ સામે NDPD એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી અમીનાબાનુ પઠાણ અને સમીરૂદ્દીન શેખ સામે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ NDPS ની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા આરોપીઓને અનુક્રમે 05 વર્ષ અને 04 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે 1.50 લાખ અને 1 લાખનો દંડ ફટકાર્યોજજ વી.બી.રાજપૂતે આરોપીઓને સજા ફટકારતા સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો ધ્યાને લીધી હતી. તેમજ સાક્ષીઓ અને પુરાવાઓ ચકાસીને આરોપીઓને ઉપરોક્ત સજા ઉપરાંત અનુક્રમે 1.50 લાખ અને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કાલુપુરમાં એક પોળના નાકે MD ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા હતાકેસની વિગતો જોતા આરોપીઓ કાલુપુરમાં એક પોળના નાકે ખુલ્લામાં MD ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા હતા. પોલીસની રેડમાં તેમની પાસેથી 31.310 ગ્રામ જેટલું MD ડ્રગ્સ, જેની બજાર કિંમત 3.13 લાખ થવા જાય છે તેનો જથ્થો મળી આવ્યો હતો. બીજા આરોપીએ સાથે મળીને તેઓ બહારથી આ જથ્થો લાવીને અમદાવાદમાં છૂટક વેચાણ કરતા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી અમીનાબાનુને અગાઉ પણ NDPSના એક કેસમાં દોષિત જાહેર થયેલા છે.
વઢવાણની તાલુકા હેલ્થ ઓફિસ ખાતે 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સેમિનારમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ ભાગ લીધો હતો. સેમિનારમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. દર્શન પટેલે PC PNDT એક્ટ (ગર્ભ પરીક્ષણ પ્રતિબંધિત કાયદો) વિશે વિસ્તૃત ટેકનિકલ અને કાયદાકીય માહિતી આપી હતી. ડૉ. પટેલે દીકરા-દીકરી વચ્ચેનો ભેદ દૂર કરી સમાનતા લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વર્કર બહેનોને સમાજમાં દીકરીના જન્મનું સ્વાગત કરવા અને કુરિવાજો દૂર કરવા પ્રેરણા આપવા અપીલ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોઓર્ડિનેટર જલ્પા વી. ચંદેશરાએ સેમિનારની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે દીકરીના જન્મના સામાજિક મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે દીકરી બે કુળને ઉજાગર કરે છે. તેમણે દીકરીઓના ઉછેર અને શિક્ષણ માટે સમાજની જાગૃતિ અનિવાર્ય હોવાનું જણાવી યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો વિશે માહિતી આપી હતી. આ સેમિનાર દ્વારા આશા વર્કર બહેનોએ દીકરી બચાવવાનો અને સમાનતાવાળા સમાજની રચના કરવાનો સંદેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
છોટા ઉદેપુરના કોલી ગામે 5.46 લાખનો દારૂ ઝડપાયો:LCBએ બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો
છોટા ઉદેપુર જિલ્લાના કોલી ગામમાંથી જિલ્લા એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે બોલેરો ગાડીમાં લઈ જવાતો રૂ. 5,46,180/- નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 10,46,180/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી, પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સક્રિય છે, અને આ વધુ એક સફળતા મળી છે.જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક બોલેરો ગાડી (નં. GJ 06 ED 4019) માં વિદેશી દારૂ ભરીને સનાડાથી કોલી ગામ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે, એલસીબીની ટીમે કોલી ગામના મંદિર પાસે વોચ ગોઠવી હતી.વોચ દરમિયાન, બાતમી મુજબની બોલેરો ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ગાડીના ચાલકે વાહન ભગાવી દીધું હતું. થોડે આગળ જઈને ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. એલસીબીની ટીમે બોલેરો ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 2340 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,46,180/- થાય છે. એલસીબીએ વિદેશી દારૂ અને બોલેરો ગાડી સહિત કુલ રૂ. 10,46,180/- નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ માટે CID ક્રાઈમ દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. રાજ્યભરમાં બે તબક્કામાં 30 દિવસ સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન કુલ 901 ગુમ વ્યક્તિઓને શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે ફરી મિલન કરાવવામાં આવ્યું છે. 901 ગુમ વ્યક્તિઓને શોધીને પરિવારજનો સાથે ફરી મિલન કરાવાયુંગુમ થયેલા લોકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને CID ક્રાઈમ, રેલવે પોલીસ અને મહિલા સેલ દ્વારા સંયુક્ત રીતે આ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાઈ હતી. CID ક્રાઈમ મિસિંગ સેલ દ્વારા શોધખોળૉરાજ્યના તમામ મહાનગરો અને જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનો તેમજ CID ક્રાઈમ મિસિંગ સેલમાં ખાસ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ગુમ થયેલા લોકો અંગેની જૂની અને નવી ફરિયાદોની પુનઃચકાસણી કરી, ટેકનિકલ ડેટા, સ્થળ માહિતી અને મેદાની તપાસના આધારે શોધખોળ હાથ ધરી હતી. 614 મહિલાઓ અને 287 પુરુષો મળી કુલ 901 વ્યક્તિઓ મળ્યા30 દિવસના આ વિશેષ અભિયાન દરમિયાન 614 મહિલાઓ અને 287 પુરુષો મળી કુલ 901 વ્યક્તિઓ મળી આવ્યા છે. શોધાયેલા તમામ લોકોની ઓળખ પુષ્ટિ કર્યા બાદ તેમને સુરક્ષિત રીતે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા, જેના કારણે અનેક પરિવારોને લાંબા સમય બાદ રાહત મળી છે. ગુમ બાળકો અને વ્યક્તિઓની શોધ માટે વિશેષ અભિયાનગુજરાત પોલીસની CID (ક્રાઈમ) શાખા દ્વારા ગુમ બાળકો અને વ્યક્તિઓની શોધ માટે સમયાંતરે આવા વિશેષ અભિયાનો હાથ ધરવામાં આવે છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુમ થયેલા સ્વજનો અંગે સમયસર ફરિયાદ અને ચોક્કસ માહિતી મળે તો શોધખોળ વધુ ઝડપથી શક્ય બને છે. આ અભિયાનથી રાજ્યમાં ગુમ થયેલા લોકોના પરિવારજનો માટે આશાની નવી કિરણ જોવા મળી રહી છે.
ભુજ-કચ્છમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ છટકું ગોઠવીને નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી અને મુખ્ય શિક્ષક ઘનશ્યામભાઈ મનોરભાઈ પટેલને ₹2.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મથલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છેઆરોપી ઘનશ્યામ મનોરભાઈ પટેલ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી અને કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવે છે. તેઓ મથલ પ્રાથમિક શાળા, તા. નખત્રાણા-કચ્છમાં મુખ્ય શિક્ષક, વર્ગ-3 પણ છે. સાડા સાત લાખના બીલ પાસ કરાવવા લાંચ માંગીફરિયાદીની કંપનીએ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીને માલ સપ્લાય કર્યો હતો. આ માલના કુલ 7,52,132 રુપિયાના બિલ મંજૂર કરાવવાના બદલામાં આરોપીએ ફરિયાદી પાસેથી 2,80,000 રુપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ભોજનાલયના ગેટ પાસેથી રંગેહાથ ઝડપાયોફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપીએ ભુજ-કચ્છમાં અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ ઉપર ફરિયાદી પાસેથી 2,80,000ની લાંચની રકમ સ્વીકારી હતી અને તે જ સમયે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ ટ્રેપનું આયોજન ભૂજ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ. ચૌધરી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB બોર્ડર યુનિટ, ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગોધરામાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું:15 ગુનાનો ઇતિહાસ ધરાવતા મુખ્ય સૂત્રધાર સહિત 3 ઝડપાયા
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું છે. પંચમહાલ જિલ્લા ગૌ-રક્ષા સ્ક્વોડ અને ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસે સંયુક્ત દરોડા પાડી ગૌ-માંસના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ગોધરાના ગેની પ્લોટ, ઉમર મસ્જિદ પાસે રહેતો અબ્દુલરઉફ હુસેન બદામ ઉર્ફે સઈદ હાજી તેના પતરાના શેડમાં ગૌ-વંશ લાવી, કટીંગ કરી ગૌ-માંસનું છૂટક વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક બી.બી. જાડેજા તથા પી.આઈ. એમ.બી. ગઢવીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સ્થળ પરથી અબ્દુલરઉફ હુસેન બદામ, શોએબ હુસેન અદા (રહે. ભીલોડીયા પ્લોટ) અને અહેમદ રમજાની સિકંદર બુઠ્ઠા (રહે. મુસ્લિમ સોસાયટી) નામના ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે ૫૬ કિલો માંસનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી સહિત કુલ રૂ.17,610/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વેટરનરી ઓફિસર દ્વારા લેવામાં આવેલા માંસના સેમ્પલને સુરત એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા હતા. એફ.એસ.એલ. રિપોર્ટમાં આ માંસ ગૌ-માંસ હોવાનું પુષ્ટિ થઈ હતી. પકડાયેલા મુખ્ય આરોપી અબ્દુલરઉફ હુસેન બદામનો ગુનાહિત ઇતિહાસ છે. તે અગાઉ ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની સામે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ મામલે પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ અને ખંભાત શહેરમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પેપર સ્ટ્રીપનું વેચાણ કરતા બે ઈસમોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડ્યા છે. નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોલીસે આ કાર્યવાહી કરી છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નશામુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનો સહિતના સ્થળોએ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો સંગ્રહ, વેચાણ કે હેરાફેરી ન કરવા જણાવ્યું છે. આણંદ LCB પોલીસને મળેલી બાતમીના આધારે, રાજપથ માર્ગ પર લક્ષ સર્કલ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં શ્રી ગજાનંદ કોર્પોરેશન નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી 18 નંગ પ્રતિબંધિત રોલિંગ પેપર અને 35 નંગ પેપર સ્ટ્રીપ મળી આવી હતી. પોલીસે દુકાનમાલિક જગદીશ અંબાલાલ પંચાલ (રહે. પાલિકા નગર, આણંદ) વિરુદ્ધ આણંદ શહેર પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, આણંદ LCBની ટીમે ખંભાત શહેરના શેખ વાડી વિસ્તારમાં આવેલા બુખારી સ્ટોરમાં પણ તપાસ કરી હતી. આ તપાસમાં કુલ 172 નંગ પેપર સ્ટ્રીપ અને કોન મળી આવ્યા હતા. પોલીસે નશીરહુસેન અબ્દુલરહેમાન શહેર (રહે. શેખ વાડી, ખંભાત) વિરુદ્ધ ખંભાત શહેર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે એક પશુપાલકની 40 બકરીઓના અચાનક મોત થતાં ચકચાર મચી ગઈ છે. પશુપાલક સુજાભાઈ રબારીએ આરોપ લગાવ્યો છે કે ખાનગી પશુચિકિત્સક દ્વારા રસીકરણ કરાવ્યા બાદ બકરીઓના મોત થયા છે. 'પશુ ડોક્ટરે 70 બકરીઓને રસી આપી હતી'સુજાભાઈ રબારીના જણાવ્યા અનુસાર, શંકરભાઈ માજીરાના નામના ખાનગી પશુ ડોક્ટરે તેમની કુલ 70 બકરીઓને રસી આપી હતી. આ રસીકરણ બાદ 40 બકરીઓના મોત થયા હોવાનો તેમનો દાવો છે. ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પશુપાલન અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પશુપાલન વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જે બાદ હકીકતો બહાર આવશે તેમ જણાવાયું છે. 'મૃત બકરીઓના સેમ્પલ લેવાયા છે'દાંતીવાડા તાલુકા પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે, પશુપાલકના વાડામાંથી મૃત બકરીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. હાલ અન્ય બકરીઓની સારવાર ચાલી રહી છે. પાલનપુરથી એક વિશેષ ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 18 બકરીઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને વધુ સ્પષ્ટતા થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના વિઝનને વેગ આપવા નવસારીમાં ત્રણ દિવસીય 'સશક્ત નારી મેળો' યોજાશે. 20 ડિસેમ્બરથી શરૂ થતો આ મેળો મહિલા ઉદ્યોગસાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડી તેમના આર્થિક સશક્તિકરણનો માર્ગ મોકળો કરશે. ગણદેવી રોડ પર આવેલા શિરવઈ પાર્ટી પ્લોટ ખાતે આ મેળાનું ઉદ્દઘાટન 20 ડિસેમ્બરે સવારે 10:00 કલાકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે થશે. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ મેળામાં 50 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ સ્ટોલ પર હસ્તકલા, હાથવણાટ, મિલેટ ઉત્પાદનો અને સખી મંડળો (SHG) દ્વારા તૈયાર કરાયેલ શુદ્ધ ઉત્પાદનોનું વેચાણ થશે. મેળામાં મહિલા લક્ષી સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને ડ્રોન દીદી જેવી પહેલ વિશે પણ જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત, લખપતિ દીદી અને ડ્રોન દીદીઓ, પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર જિલ્લાની દીકરીઓનું સન્માન કરવામાં આવશે. નવસારીના નગરજનોને આ મેળાની મુલાકાત લઈ, સ્થાનિક મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી કરી 'વોકલ ફોર લોકલ' અભિયાનમાં સહભાગી થવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. મેળાના આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ભરૂચની દૂધધારા ડેરીના 66 વર્ષ પૂર્ણ:'સહકારથી સમૃદ્ધિ અભિયાન' અંતર્ગત સેમિનાર યોજાયો
ભરૂચની દૂધધારા ડેરીએ તેના 66 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 67મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે 'સહકારથી સમૃદ્ધિ અભિયાન' અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભાસદો અને દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં સહકારી યોજનાઓ, દૂધ ઉત્પાદકોને મળતી સુવિધાઓ, અને સરકાર દ્વારા અપાતી સહાય તથા લાભો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણમાં સહકારી સંસ્થાઓની ભૂમિકા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત દૂધ મંડળીઓને સહકારી બેન્કિંગ સાથે જોડવા, માર્ગદર્શન આપવા અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે દૂધધારા ડેરી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક અને જીએસસી બેંક દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રતિનિધિઓ અને સેક્રેટરીઓ હાજર રહ્યા હતા. દૂધધારા ડેરીના ઉપપ્રમુખ સંજયસિંહ રાજ, ડિરેક્ટર હિરેન પટેલ અને ભૂતપૂર્વ ડિરેક્ટર સાગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, દૂધધારા ડેરીની સ્થાપના 18 ડિસેમ્બર 1959ના રોજ પુણે ખાતે રજિસ્ટ્રાર દ્વારા નોંધણી કરીને કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,2008 સુધી ડેરી નોંધપાત્ર પ્રગતિ કરી શકી ન હતી. પરંતુ, 2008માં ઘનશ્યામ પટેલે ડેરીનું સુકાન સંભાળ્યા બાદ તેણે પ્રગતિના પંથે સતત આગળ વધી અને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.આજે દૂધધારા ડેરી ભરૂચ ખાતે બે લાખ લિટરની પેકિંગ ક્ષમતા ધરાવતો અત્યાધુનિક પ્લાન્ટ ધરાવે છે, જે ભરૂચ અને નર્મદા જિલ્લાના ગ્રાહકોને દૂધ અને દૂધની બનાવટો જેવી કે છાશ, દહીં, ઘી, પનીર વગેરે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડી રહી છે. આ ઉપરાંત, નવી મુંબઈ ખાતે પણ બે લાખ લિટરની પેકિંગ ક્ષમતાનો પ્લાન્ટ શરૂ કરીને મુંબઈમાં પણ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરી રહી છે. દૂધધારા ડેરી ખરા અર્થમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહી છે.
લુણાવાડાના આઝાદ મેદાન ખાતે 'સશક્ત નારી મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી પી.સી. બરંડાએ રિબિન કાપીને આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને મહિલા-નેતૃત્વ વિકાસના વિઝનને સાકાર કરવાનો હતો. આ પ્રસંગે મહિલાઓના આર્થિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા હતા. 'મિશન મંગલમ' યોજના અંતર્ગત કુલ ₹17.50 લાખની કેશ ક્રેડિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મિશન મંગલમ યોજના હેઠળ કાર્યરત થનાર બેન્ક સખીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા અને અન્ય વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને પણ સહાયનું વિતરણ કરાયું હતું. મેળામાં મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે કુલ 64 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. પ્રભારી મંત્રી પી.સી. બરંડાએ તમામ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શિત કરાયેલી કૃતિઓ અને ઉત્પાદનોની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ મેળામાં ઉપસ્થિત બહેનો સાથે સીધો સંવાદ સાધીને તેમની પ્રવૃત્તિઓ અને આજીવિકા અંગે વિગતો મેળવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખાંટ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, અગ્રણી દશરથભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં ગઈકાલે સ્કૂલ, સાબરમતી સેન્ટ્રલ જેલ અને ગાંધી આશ્રમને ઇ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઈમ દ્વારા આ અંગે તપાસ કરતા આ ઇ-મેલ બે હોટમેલ અને એક એટોમિક ઇ-મેલ દ્વારા મળ્યો હતો. આ તમામ હોક્સ મેલ હોવાની સાયબર ક્રાઈમે પૃષ્ટિ કરી છે. આ ઇ-મેલ કરનાર એક વ્યક્તિ અથવા એક ગ્રુપ હોવાની શક્યતાઅમદાવાદની 23 ઇ-મેલ, સાબરમતી સેન્ટ્રલ જેલ અને ગાંધી આશ્રમને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ ઇ-મેલમાં એક જ પ્રકારનું લખણ લખવામાં આવ્યું હતું. અલગ અલગ 3 મેલ દ્વારા ધમકી ભર્યા ઇ-મેલ મળ્યા હતા. આ ઇ-મેલ કરનાર વ્યક્તિ પણ એક જ વ્યક્તિ અથવા એક ગ્રુપ હોવાની પૂરી શક્યતા છે. ધમકી આપનારે બનાવતી અને વિદેશી નામનો ઉપયોગ કર્યો હતો. એક પણ જગ્યાએથી બોમ્બ મળી આવ્યો નથી: ACPસાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, આ મેલને હોક્સ મેલ કહી શકાય કારણકે ધમકી બાદ પોલીસે તપાસ કરી તો એક પણ જગ્યાએથી બોમ્બ મળી આવ્યો નથી. આ ઇ-મેલ માત્ર ડરાવવા માટે જ કરવામાં આવ્યા હતા. આ મેલથી કોઈ ડરવાની જરૂર નથી. બોમ્બ થ્રેટ ઇ-મેલ દેશ બહારથી આવ્યા હોવાની શક્યતાઅમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા તમામ બોમ્બ થ્રેટ માટે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ ઇ-મેલના IP એડ્રેસ, ઉપયોગમાં લેવાયેલા પ્લેટફોર્મ અને સંભવિત VPNનો ઉપયોગ અંગે વિગતવાર ટેકનિકલ તપાસ ચાલી રહી છે. આ બોમ્બ થ્રેટ ઇ-મેલ દેશ બહારથી આવ્યા હોવાની શક્યતા છે. તમામ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા યથાવત જ છે.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરમિશન વગર ચાલતી અને ફાયર સેફ્ટી વગર ચાલતી અનેક શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવામાં આવી છે. ચાલુ સત્રમાં શાળાઓને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ તેની અસર થતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જો કે હવે અમદાવાદ ગ્રામ્યની શાળાઓ સીલ થતા જ તંત્ર દોડતું થઈ ગયું છે. અમદાવાદ ગ્રામ્યની 6 શાળાઓ સીલ કરવામાં આવી છે. જેમાંથી 2 શાળાઓમાં આગામી 21મીએ ટેટ પરીક્ષાનું સેન્ટર આપવામાં આવ્યું છે. જેથી પરીક્ષા પહેલા તેનો ઉકેલ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યની 6 માધ્યમિક સ્કૂલો સીલપ્રિ પ્રાયમરી સ્કૂલને સીલ કર્યા બાદ હવે માધ્યમિક શાળાઓને સીલ કરવામાં આવી છે. BU પરમિશન વગર ચાલતી અમદાવાદ ગ્રામ્યની 6 માધ્યમિક શાળાઓને સીલ કરવામાં આવી છે. જેમાં સરખેજની અને જુહાપુરાની શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં ગુલશને મહેર હાઈસ્કૂલ, ન્યૂ એઈઝ સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિદ્યાલય, જાગૃતિ વિદ્યાલય, કુવેશ હાઇસ્કુલ, ધ નેશનલ ઇંગ્લિશ સ્કૂલ અને ફારુકે આઝમ ગર્લ્સ હાઈસ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર થઈ રહી છે. જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હવે તેનો ઉકેલ લાવવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. 2 સ્કૂલમાં આગામી 21મીએ ટેટ પરીક્ષાનું સેન્ટર કારણ કે આગામી 21 મીએ ટેટ પરીક્ષા યોજાવાની છે. જેના માટે 2 શાળાઓમાં તેનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે. છેલ્લી ઘડીએ શાળા સીલ થઈ જતા જિલ્લા શિક્ષણાધિકારી ચિંતામાં મુકાઈ ગયા છે. જેથી શાળા સંચાલકો સાથે બેઠક કરી શું કારણથી શાળાને સીલ કરવામાં આવી તેને લઈને જવાબ લેવામાં આવ્યા હતા. તેમજ હવે છેલ્લી ઘડીએ સેન્ટર ન બદલી શકાય જેથી તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. પરીક્ષા પહેલા શાળા સંચાલકો જરૂરી કામગીરી કરી લે તેવી પણ સૂચના આપવામાં આવી છે. BU પરમિશન માટે ઇમ્પેક્ટ ફી ભરી દે તે માટેની પણ સૂચના શાળાઓને આપી દેવામાં આવી છે. BU પરમિશન અને ઈમ્પેક્ટ ફીને લઈને સ્કૂલ પર કાર્યવાહીઅમદાવાદ ગ્રામ્ય DEO બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્યની પણ 6 જેટલી શાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. જેથી ટ્રસ્ટીઓને બોલાવીને શાળાને કેમ સીલ કરવાની ફરજ તેના કારણ જાણવામાં આવ્યા હતા. BU પરમિશન ન લીધી હોય અને ઈમ્પેક્ટ ફી ન ભરી હોય તેના કારણે કોર્પોરેશન દ્વારા સીલ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી BU પરમિશન અને ઈમ્પેક્ટ ફી ભરાઈ જાય તે માટે શાળા સંચાલકો કોર્પોરેશન સાથે સંપર્કમાં છે. 'કોઈ પ્રોબ્લેમ ન થાય તે માટે અમે તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ'વધુમાં બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમજ અમે પણ કમિશનરને મળીને આગામી સમયમાં ટેટ પરીક્ષા યોજવાની છે, જે 21 તારીખે યોજાવાની છે. જેમાં બે શાળાઓમાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે. જેથી પરીક્ષા સમયે કોઈ પ્રોબ્લેમ ઊભી ન થાય તે માટે અમે તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની હોય છે તે કોર્પોરેશન અને કમિશનર સાથે મળીને કરીશું. સરખેજ અને જુહાપુરા વિસ્તારની 6 શાળાઓને સીલ કરવામાં આવી છે. જેમાં બે શાળાઓમાં આગામી સમયમાં યોજાનાર ટેટ પરીક્ષા માટેના સેન્ટર પણ છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ પણ અસર ન થાય તે માટે શાળા સંચાલકોને સાથે રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
પાંચ દિવસ દરમ્યાન પોલીસ ટ્રાઈવમાં 183 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી 4.30લાખથી વધુનો દંડ વસુલ્યો ભાવનગર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે એસપીની સૂચના હેઠળ પાંચ દિવસીય સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં મુખ્યત્વે સગીર વયના વાહન ચાલકો, ઓવર સ્પીડ અને બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 4.30 લાખનો દંડ પોલીસ દ્વારા તા.13/12/2025 થી 17/12/2025 પાંચ દિવસ દરમ્યાન હાથ ધરવામાં આવેલ 9 પોલીસ સ્ટેશનમાં સગીર વયના ચાલકોના સગીર વયના બાળકો વાહન ચલાવતા પકડાયા હોય તેવા 31 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે તેમજ પોતાના સગીર બાળકોને વાહન આપવા બદલ 21 જેટલા વાલીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, બ્લેક ફિલ્મના કુલ 43 વાહનો સામે બ્લેક ફિલ્મના કેસ કરવામાં આવ્યા છે ઓવર સ્પીડ વધુ ઝડપે વાહન ચલાવનારાઓ વિરુદ્ધ 12 ગુના નોંધવામાં આવ્યા છે, આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 183 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી કુલ રૂપિયા 4,30,500 રકમનો માતબર દંડની રકમ વસૂલવામાં આવી છે, આ ડ્રાઈવમાં ભાવનગરના નીલમબાગ, ઘોઘારોડ, ગંગાજળિયા, બોરતળાવ, ભરતનગર, વરતેજ, ઘોઘા અને વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખાએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી. પોલીસની વાલીઓને અપીલ પોલીસ અધિકારીએ વાલીને ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે. વાલીઓને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના સગીર વયના બાળકોને ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર ચલાવવા ન આપે. જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે, તો કાયદાની જોગવાઈ મુજબ વાલીઓ વિરુદ્ધ કડક એફઆઈઆર દાખલ કરવામાં આવશે. 21 વાલીઓ સામે કાર્યવાહી કરી આ અંગે સીટી ડીવાયએસપી આર આર સિંધાલએ જણાવ્યું હતું કે, એસપીની સૂચના મુજબ એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલા છે, જેમાં ખાસ સગીર વયના જે બાળકો જે છે તે વાહનો ચલાવતા હોય તો તેના વિરુદ્ધ અને તેની વાલી વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં તેમજ ઓવર સ્પીડમાં વાહનો ચલાવ ચાલકો ચલાવે છે, તેના વિરુદ્ધની એક મુહિમ ચલાવવામાં આવેલી અને છેલ્લા પાંચ દિવસથી આ ચલાવે છે, બ્લેક ફિલ્મ વાળા જે 43 કેસ કરવામાં આવેલા છે. સગીર વયના બાળકો ચલાવે છે એવા સગીર વયના જે બાળકોને 31 જેટલા વાહનો ડિટેઈન કર્યા છે. તેના વાલી વિરુદ્ધ જે છે 21 જેટલા કેસીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને 12 જેટલા જે ઓવર સ્પીડના વાહનો જે છે તેના વિરુદ્ધ એફઆઈઆરની કાર્યવાહી કરવામાં આવેલા છે, સગીર વયના બાળકોને વાહન ચલાવવા પરવાનગી ન આપવી આ આગામી દિવસોમાં પણ ટ્રાફિક ટ્રાઈવ શરૂ રહેશે, અને આ તબક્કે આ તમામ વાલીઓને મારી વિનંતી છે કે આપના જે સગીર વયના બાળકોને વાહનો ચલાવવા માટે નહીં આપો ટુ-વ્હીલ કે ફોર-વ્હીલ અને જો તમે આપશો તો કાયદાની જોગવાઈ મુજબ તે ગુનો બને છે અને આપના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી એફઆઈઆર દાખલ કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગર શહેરના ચિત્રા પ્રેસક્વાર્ટર પાછળ આવેલ પૂજાનગરમાં રહેતો યુવાન મંદિરે દર્શન કરવા ગયો હોય જ્યાં બેસવાની બાબતને લઈને આ વિસ્તારના બે શખ્સોએ યુવાન પર લાકડી વડે હુમલો કરી મારમારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રેસ ક્વાર્ટર પાછળ આવેલ પૂજાનગરમાં રહેતો અને મજુરી કામ સાથે સંકળાયેલો કમલેશ ખીમજી બારૈયા ઉ.વ.39 ગઈકાલે પટેલનગરમાં આવેલ બોરતળાવના પાળા પાસે હનુમાનજી મહારાજના મંદિરે દર્શને ગયો હતો અને મંદિર બહાર બેઠો હોય ત્યારે પટેલનગરમાં રહેતા રાજદીપસિંહ અશ્વિનસિંહ ગોહિલ અને યોગીરાજસિંહ બળભદ્રસિંહ ઝાલા ફરિયાદી કમલેશ પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે અહીં કેમ બેઠો છે તેમ કઈ ગાળો આપતા કમલેશે ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલ બંને શખ્સોએ લાકડી વડે કમલેશ પર હુમલો કરી લોહિયાળ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સારવાર બાદ તેણે રાજદીપ તથા યોગીરાજ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતના અમરોલીમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વૃદ્ધાને તેમની પુત્રવધૂ દ્વારા ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસુને માન આપવાને બદલે ગાળો બોલવી અને જમવામાં માત્ર ત્રણ જ રોટલી આપી મેણાં મારવા એ પુત્રવધૂની ક્રૂરતાની પરાકાષ્ઠા હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસની હાજરીમાં પણ પુત્રવધૂ અને પૌત્રીએ વૃદ્ધાનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું. પત્નીના પક્ષે રહીને દીકરાએ પણ જનેતાને કહી દીધું કે જાવ, પાછા આવતા નહીં. આખરે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા દ્વારા વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો છે. વૃદ્ધા પરિવાર સાથે નર્ક જેવું જીવન જીવતાભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ:નો મંત્ર શીખવવામાં આવે છે, પરંતુ આજના ભૌતિકવાદી યુગમાં આ મૂલ્યો ક્યાંક ખોવાઈ ગયા હોય તેવું લાગે છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધાની વ્યથા માત્ર એક વ્યક્તિની વાર્તા નથી, પણ એ હજારો વૃદ્ધોનો આક્રોશ છે, જેઓ પોતાના જ ઘરમાં પરિવારના નામે નર્ક જેવું જીવન જીવી રહ્યા છે. એક માતા માટે તેના સંતાન દ્વારા કરાતો તિરસ્કાર સૌથી વધુ પીડાદાયક હોય છે. વૃદ્ધાને તેમની પુત્રવધૂ દ્વારા માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક રીતે તોડી નાખવામાં આવ્યા હતા. માન-સન્માન તો દૂરની વાત, પણ એક સાસુને ગાળો આપીને બોલાવવી એ માનવતાની હદ પાર કરવા સમાન છે. સૌથી કરુણ બાબત તો એ છે કે, જમવામાં માત્ર ત્રણ જ રોટલી આપવી અને જો વધુ ભૂખ લાગે તો ત્રણ લોકોનું જમવાનું ખાઈ જાવ છો તેવા મેણાં મારવા એ દર્શાવે છે કે આપણે સંવેદનાહીન સમાજ તરફ જઈ રહ્યા છીએ. પોલીસની હાજરીમાં પણ જનેતાનું અપમાન કર્યુંજ્યારે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા અને અમરોલી પોલીસનો સ્ટાફ વૃદ્ધાની વહારે આવ્યો, ત્યારે જે દૃશ્યો સર્જાયા તે ચોંકાવનારા હતા. પોલીસની હાજરીમાં પણ પુત્રવધૂ અને પૌત્રીએ વૃદ્ધા સાથે કરેલું અપમાનજનક વર્તન સાબિત કરતું હતું કે, તેમને કાયદા કે મર્યાદાનો કોઈ ડર નથી. જો જાહેર સેવકોની હાજરીમાં આ હાલત હોય, તો બંધ દરવાજે એ માજી પર શું વીતતી હશે તેની કલ્પના ધ્રુજારી લાવી દે તેવી છે. પુત્રએ પણ ‘હું જોવા પણ નહીં આવું’ કહી દીધુપુત્રવધૂ તો પરધરની પુત્રી કહેવાય, પણ જે દીકરાને આ માતાએ નવ માસ કુખમાં રાખ્યો અને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, એ દીકરાએ જ્યારે એમ કહ્યું કે, જાવ, પાછા આવતા નહીં, હું જોવા પણ નહીં આવું, ત્યારે એક માનું હૃદય કેટલી વાર ચિરાયું હશે? પત્નીના મોહમાં કે જવાબદારીથી ભાગવાની વૃત્તિમાં પોતાની જ જનેતાને ત્યજી દેનારો પુત્ર ખરેખર કળિયુગી જ કહેવાય. વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો અપાયોઅંતે વૃદ્ધાને આશરો આપવા માટે વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો લેવો પડ્યો હતો. વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એ સમાજની પ્રગતિ નથી, પણ આપણા સંસ્કારોનું પતન છે. શું આપણે એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં વડીલો માત્ર એક બોજ બની ગયા છે? વૃદ્ધાવસ્થા એ જીવનનો એવો પડાવ છે જ્યાં વ્યક્તિને માત્ર પ્રેમ અને હુંફની જરૂર હોય છે. જો આપણે આપણા માતા-પિતાને માન ન આપી શકીએ, તો આપણી ભક્તિ અને સંપત્તિ બધું જ વ્યર્થ છે.
સમગ્ર રાજ્યમાં બાર એસોસિએશનની ચૂંટણી અંતર્ગત આવતીકાલે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની પણ ચૂંટણી યોજવાની છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં 2500 કરતાં વધુ મતદારો મતદાન કરશે. મતદાનનો સમય સામાન્ય રીતે સવારે 10 થી લઈને સાંજના 5 વાગ્યા સુધીનો હોય છે. વર્તમાન હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદી, ઉપ-પ્રમુખ તરીકે વિરાટ પોપટ અને સેક્રેટરી તરીકે હાર્દિક બ્રહ્મભટ્ટ છે. પ્રમુખ પદ માટે 5 ઉમેદવારો મેદાનમાંઆ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં એડવોકેટ યતીન ઓઝા, બાબુ માંગુકિયા, બ્રિજેશ ત્રિવેદી, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. ઉપપ્રમુખના પદ માટે પૃથ્વીરાજસિંહ જાડેજા, પુનિત જુનેજા, અશોક પારેખ, વિરાટ પોપટ, અભિરાજ ત્રિવેદી અને નીરવ ત્રિવેદી ઉમેદવાર છે. જનરલ સેક્રેટરીના પદ માટે હાર્દિક બ્રહ્મભટ્ટ, મહેશ બારીયા, ભાવિક પંડ્યા, દેવેન્દ્ર પંડ્યા અને વિશાલ ઠક્કર ઉમેદવાર છે. ખજાનચીના મહિલા અનામત પદ માટે ભક્તિ જોશી, અમી પટેલ, જૈમીની પાઠક અને ખુશ્બુ વ્યાસ ઉમેદવાર છે. જ્યારે જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 10 ઉમેદવાર નોંધાયા છે. જેમાં ઓમ કોટવાલ, દર્શન દવે, વિલવ ભાટિયા, રેખા કાપડિયા, અન્વિત મહેતા, ચંદ્રમણી મિશ્રા, આકાશ પંડ્યા, હેમાંગ કુમાર શાહ, અલકા વાણીયા અને નિખિલ વ્યાસના નામ છે.
રાજકોટના રૈયા ગામે 400 ચોરસ મીટર જમીન ઉપર પશુઓ રાખવા માટેના સ્લોપ, રૈયા સ્મશાન પાછળ 2000 ચોરસ મીટરમાં ડોગ હોસ્ટેલ અને 400 ચોરસ મીટર જમીન પર ખજૂરનું કારખાનું સરકારી જગ્યા પર ગેરકાયદે ઊભું થઈ ગયુ હતું. જોકે રાજકોટ જિલ્લા વહિવટી તંત્રને ધ્યાને આવતા કલેકટરના આદેશથી પશ્ચિમ મામલતદાર અને તેમની ટીમ દ્વારા રૂ.20 કરોડની 2000 ચોરસ મીટર જમીનના બાંધકામ પર બુલડોઝર ફેરવી દબાણ હટાવવામાં આવ્યું હતું. 1200 ચોમીમાં બનેલ ડોગ હોસ્ટેલ અને 400 મીટર જગ્યા પરનું સ્લોપ દૂર કરાયુંરાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશની સૂચના અને પ્રાંત અધિકારી ડો.સી.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ રૈયા ગામ પાસે આવેલ સરકારની માલિકીના ફાઇનલ પ્લોટ પર એક ભરવાડ દ્વારા પશુઓને બાંધવા માટેનો ઢાળીયા એટલે કે સ્લોપ બનાવ્યા હતાં. 400 મીટર જગ્યા પર થયેલું દબાણ બુલડોઝર ફેરવી હટાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૈયા સ્મશાન પાછળ સરકારની માલિકીની 1200 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર કબજો કરી ડોગ હોસ્ટેલ ઉભી થઈ ગઈ હતી. જે પણ દૂર કરવામાં આવ્યુ હતુ. ખજૂરના કારખાના પર બુલડોઝર ફેરવાયુંઆ ઉપરાંત શીતલ પાર્ક ચોકડીથી રૈયાધાર તરફ જતા શાસ્ત્રીનગર વિસ્તારમાં આશરે 400 ચોરસ મીટર સરકારી જમીન પર ખજૂરનું કારખાનું ખડકાઈ ગયુ હતુ. જેના પર પણ બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતુ. વહીવટી તંત્ર દ્વારા કુલ 2000 ચોરસ મીટરનું દબાણ ખુલ્લું કરાવવામા આવ્યુ છે. જે જમીનની બજાર કિંમત અંદાજિત રૂ.20 કરોડ થાય છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 22 કરોડથી વધુના ખર્ચે શહેરના ગઢેચીવડલાથી કુંભારવાળા સર્કલ તરફ જતા જવાહર કોલોની પાસે રેલવે ફાટક પર અંડરબ્રિજ બનવવાના કામની મંજૂરી મળી છે, ત્યારે સ્થાનિકો અને શહેર કોગ્રેસ દ્વારા મંજુર થયેલા અંડરબ્રિજની જગ્યાએ ઓવરબ્રિજ બનવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ચોમાસા સિઝનમાં અંડરબ્રિજમાં પાણી ભરવાવાની સમસ્યાઆગામી સમયમાં મનપાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શહેરમાં અનેક વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી રહી છે, જેમાં ગત મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ગઢેચિ વડલાથી કુંભારવાળા આવતા માર્ગ પર રેલવે ફાટકે રેલવે અંડરબ્રિજ 22 કરોડથી વધુના ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. ત્યારે તે વિસ્તારમાં અન્ય બે અંડરબ્રિજ આવેલા છે, જેમાં અક્ષરપાર્ક વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન પાસે અંડરબ્રિજ બનેલો છે અને કુંભારવાળા રેલવે ફાટક નજીક અંડરબ્રિજ બનવવામાં આવેલો છે. અવાર-નવાર ચોમાસા સિઝન દરમિયાન આ અંડરબ્રિજમાં પાણી ભરવાવાની સમસ્યા સર્જાય છે અને તે વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે મનપા દ્વારા આ નવો અંડરબ્રિજ જે મંજુર કરવામાં આવ્યો છે, તેની જગ્યાએ ઓવરબ્રિજ બનવવામાં આવે તે અંગે સ્થાનિકો અને શહેર કોગ્રેસ માંગ કરી રહ્યા છે. ટ્રાફિક ન્યુસન્સ ન રહે અને લોકો આરામથી જઈ શકે: સુરેશ રબારીઆ અંગે સ્થાનિક રહેવાસી સુરેશ રબારીએ જણાવ્યું હતું કે, ગઢેચીવડલાથી કુંભારવાડા વિસ્તારનો રહેવાસી છું. અમને જાણવા મળ્યું છે કે ત્યાં કોર્પોરેશન દ્વારા અંડરબ્રિજ બનાવે છે. રેલવે લાઈનમાં પણ જે અલકા ફાટકે જોયું હશે ત્યાં ચોમાસામાં પાણી ખૂબ ભરાઈ જાય છે અને ટ્રાફિક ખૂબ જ થાય છે. અને તેવું જ તે અમારો કુંભારવાડા વિસ્તાર છે, જ્યાં શ્રમિકો અને રત્ન કલાકારો રહે છે. જે લોકો ડાયમંડ માટે કુમોદવાડી ઉદ્યોગનગર વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવે છે. સ્થાનિક બધા લોકોની અમારી વિનંતી છે કે શક્ય હોય તો અંડરબ્રિજના બદલે ઓવરબ્રિજ બનાવો, જેને કારણે કોઈ સમસ્યા ન થાય. કારણ કે ચોમાસા સિઝનમાં પાણી તો ભરાવાનું જ છે, જેનું કોઈ સોલ્યુશન અમને લાગતું નથી. અને એ સિવાય નાના ભૂલકાઓને અસંખ્ય રિક્ષાઓ સ્કૂલેથી મુકવા માટે આવે છે, એટલે ટ્રાફિક વધી જશે. ત્યારે અમારી માંગણી છે કે શક્ય હોય તો ઓવરબ્રિજ બનાવો, જેનાથી ટ્રાફિક ન્યુસન્સ ન રહે અને લોકો આરામથી જઈ શકે. કુંભારવાડા અંડરબ્રિજ બનાવ્યો ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો: પ્રકાશ વાઘાણીશહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આ બાબતે જણાવ્યું હતું કે, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ઓલરેડી એક અંડરબ્રિજ બનેલો છે, જ્યાં કબ્રસ્તાન સ્મશાન આવેલા છે. ત્યાંથી લાખો લોકો અવરજવર કરે છે. જ્યાં અંડરબ્રિજ બનાવ્યો છે, ત્યાં ચોમાસામાં મોટા તળાવો ભરાઈ જાય છે. ત્યાં ગાડી ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી. એનો મતલબ આ શાસકો અધિકારીને કોઈ પણ આવડત નથી, નબળી ગુણવત્તાવાળા કામો કરે છે. એટલા માટે હું એવું માનું છું કે ગઢેચીવડલાથી લઇને કુંભારવાડા સુધીમાં ફાટક આવે છે, તેને આ લોકોએ અંડરબ્રિજ પાસ કર્યો છે. કુંભારવાડા વિસ્તારમાં ફાટક તો ખુલવાનું છે, ફાટકનો રસ્તો ચાલુ રહેવાનો, પણ આ નવો અંડર બ્રિજ બનાવ્યો અને ત્યાં પાણી ભરાશે તો ભાવનગરના પ્રજાજનોને કલ્પના બહારની હેરાનગતિ થવાની છે. જ્યારે કુંભારવાડા અંડરબ્રિજ બનાવ્યો ત્યારે કોંગ્રેસ પક્ષે તેનો વિરોધ કર્યો હતો કે તમે ઓવરબ્રિજ બનાવો. જ્યારે આ વખતે પણ અમે માંગણી કરી રહ્યા છીએ કે આ નવો અંડર બ્રિજ બનાવો છો તેની જગ્યાએ ઓવર બ્રિજ બનાવો. નવી મેથડ અને ટેકનોલોજી સાથે અંડરબ્રિજનું કામ કરી રહ્યા છીએ: રાજુ રાબડીયાઆ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા લોકોની સુખાકારી અને કનેક્ટિવિટી માટે કામ કરી રહી છે. ભાવનગરની વચ્ચે રેલવે સ્ટેશનના કારણે રેલવે ટ્રેકના કારણે અડધું કુંભારવાડા અને બાકીનો જે વિસ્તાર છે, એમની કનેક્ટિવિટી માટે ગઢેચી વડલાથી આગળના ભાગના સર્કલ સુધી કનેક્ટિવિટી માટે 22 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવવા જઈ રહ્યા છીએ. પાણી ભરાવાની જે સમસ્યા છે એ કુંભારવાડાના સ્મશાન નજીકના બ્રિજ પાસે છે. અમે પણ માની રહ્યા છીએ કે ટેકનિકલ રીતે જ્યારે પણ સર્વે થયો હશે અને જે રીતે કામ થયું હશે એ રીતે મુશ્કેલી ઊભી થઈ હશે. પરંતુ હાલ જે ગઢેચી વડલાની અંડર બ્રિજની પ્રોસેસ છે એ નવી મેથોડ અને ટેકનોલોજી સાથે કરી રહ્યા છીએ. અને આ બ્રિજથી ભાવનગરનો એક વિભાગ છે એ વધારે ઝડપથી કનેક્ટિવિટીમાં જોડાશે એવી અમને આશા છે.
રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓ ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા અને તેમને સશક્ત બનાવવા માટે છે. આ પહેલના ભાગરૂપે, પાટણ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા. 18થી 20 ડિસેમ્બર, 2025 દરમિયાન પ્રગતિ મેદાન, પાટણ ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે. પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી અને ખાદી, કુટિર તથા ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે આજે પ્રગતિ મેદાન, પાટણ ખાતે આ સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિશિષ્ટ કામગીરી કરનાર સ્વ-સહાય જૂથની મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી. તેમણે મેળામાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મેળામાં કુલ ૧૦૦ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી, ખાદ્ય પ્રક્રિયા, મિલેટ આધારિત ઉત્પાદનો, હાથવણાટ અને ખાદી એકમો સહિત વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે સુસંગત રીતે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાઓનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, આ મેળાઓ ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહિલાઓ પાયાના સ્તરે પરિવર્તનકારી નવીનતા લાવી રહી છે. આવા જિલ્લા સ્તરીય મેળાઓ મહિલાઓના સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપીને આર્થિક ભાગીદારીને વેગ આપશે, તેમજ લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી સાબિત થશે. મેળા અંતર્ગત GLPC, કૃષિ વિભાગ (આત્મા), મહિલા આર્થિક વિકાસ વિભાગ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર) અને સહકારી મંડળીઓ (જિલ્લા રજીસ્ટાર કચેરી) જેવા વિવિધ સંકલન વિભાગો દ્વારા સ્ટોલ્સ, સ્વદેશી પ્રદર્શન, માહિતી અને જાગૃતિ કાઉન્ટર્સ, પ્રેરણાત્મક ટોક શો, સન્માન સમારોહ, નેટવર્કિંગ અને માર્કેટ લિન્કેજ પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.એન. નાયી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક આર.કે. મકવાણા સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, સ્વ-સહાય જૂથોના સંચાલકો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
વડોદરા શહેરના ફતેગંજ મેન રોડ પર ડ્રેનેજ અને ગંદા પાણીની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. વોર્ડ નંબર 3માં આવતા ફતેગંજ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાછલા ઘણા મહિનાઓથી દુર્ગંધ મારતા ડ્રેનેજના પાણીની સમસ્યા યથાવત છે. જેને લઈ અહિયાથી પસાર થતા રાહદારીઓ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 'ચેમ્બરો ભરાઈ છે અને ગંદુ પાણી રોડ પર નીકળે છે'આ અંગે સ્થાનિક વેપારી મોહનભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, આ ફતેગંજ મેઈન રોડનો વિસ્તાર છે અને એક મહિનાથી ચેમ્બરો ભરાઈ ગઈ છે અને પાણી રોડ પર નીકળે છે. બધી જ સોસાયટી અને એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે. અહીંયા આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. 'કોર્પોરેશનમાં એક મહિનાથી કમ્પ્લેન છતાં ઉકેલ નહીં'એક મહિનાથી અમે લોકોએ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે, એમની ગાડીઓ આવે છે અને ગાડીઓ આવીને કામ કરીને જતી રહે છે પણ એક પણ ગટરનું કામ પરમેનન્ટલી કમ્પલીટ થયું નથી. એટલે અમને બધાને તકલીફ પડે છે એટલે અમે વિનંતી કરીએ કોર્પોરેશનના સાહેબને કે ફરી તમે એકવાર અહીંયા આવીને આ ગટરનું કામ કરો તો આપની મહેરબાની. 'દુર્ગંધ હોવાથી ગ્રાહકો આવતા નથી'વેપારીએ કહ્યું કે, અહીંયા ગ્રાહકો નથી આવતા ગ્રાહકો ઊભા નથી રહેતા અહીંયા દુર્ગંધ મારતા ગ્રાહકો જતા રહે છે. કોર્પોરેશનની ગાડીઓ આવે છે પણ નિરાકરણ કંઈ નથી, ખાલી પંપ મારીને જતા રહે છે, પ્રેશર કરીને જતા રહે છે. કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું માંગ છે.
ભરૂચમાં 19 થી 21 ડિસેમ્બરે સશક્ત નારી મેળો:મહિલા સશક્તિકરણ માટે 100 સ્ટોલ સાથે ભવ્ય આયોજન
ભરૂચ જિલ્લામાં મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણને વેગ આપવા માટે 19 થી 21 ડિસેમ્બર દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેળાનો મુખ્ય હેતુ જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરવાનો તેમજ સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. મેળામાં અંદાજે 100 જેટલા સ્ટોલનું આયોજન કરાયું છે, જેમાં મહિલા સ્વસહાય જૂથો, મહિલા સ્ટાર્ટઅપ્સ, સહકારી સંસ્થાઓ અને મહિલા ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનો અને નવીનતાઓ પ્રદર્શિત થશે.ખાસ કરીને હસ્તકલા, મિલેટ આધારિત ઉત્પાદનો,ફૂડ પ્રોસેસિંગ, પ્રાકૃતિક અને સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ સાથે લાઈવ ડેમો અને વેચાણની વ્યવસ્થા રહેશે. આ ઉપરાંત, સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતા માટે વક્તૃત્વ સ્પર્ધા, નારી સશક્તિકરણ, ‘સ્વદેશી અપનાવો’ અને ‘આત્મનિર્ભર ભારત’ થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ દ્વારા પ્રેરણાત્મક ટોક શો, સન્માન સમારોહ તેમજ ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચાસત્ર યોજાશે અને શ્રેષ્ઠ મહિલા કાર્યક્રમો તથા સિદ્ધિઓનું સન્માન કરવામાં આવશે.મહિલાઓને વધુ બજાર જોડાણ મળે તે માટે બિઝનેસ-ટુ-બિઝનેસ લિન્કેજ, બાયર-સેલર મીટ તેમજ ઈ-કોમર્સ સાથે જોડાણ દ્વારા માર્કેટ એક્સેસ માટેનું પણ વિશેષ આયોજન કરાયું છે. ભરૂચ જિલ્લામાં યોજાનારા સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા તથા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે.
વલસાડ તાલુકાના ઓવાડા ગામમાં વલસાડ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ સ્થાપવાની કાર્યવાહી સામે સ્થાનિક ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ આ મામલે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. નગરપાલિકા દ્વારા ઓવાડા ગામની સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટ માટે માંગણી કરવામાં આવી છે અને તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. જો આ ડમ્પિંગ સાઇટ શરૂ થશે, તો વલસાડ શહેરનો કચરો ઓવાડા ગામમાં ઠાલવવામાં આવશે. સ્થાનિક લોકોનો મુખ્ય વાંધો એ છે કે ડમ્પિંગ સાઇટને કારણે ગામમાં દુર્ગંધ ફેલાશે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ વિરોધને પગલે, ગામના આગેવાનો સાથે સ્થાનિક લોકોએ વલસાડ કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સાત દિવસમાં ડમ્પિંગ સાઇટનો નિર્ણય રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
વિકસિત ગુજરાત @2047ના વિઝનને આગળ ધપાવતાં રાજ્ય સરકારે કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉદ્યોગ અને રોકાણને ગતિ આપવા મહત્વપૂર્ણ પહેલ કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત 19થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લાઓમાં જિલ્લાસ્તરીય કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો દ્વારા સ્થાનિક ઉદ્યોગો, MSMEs, સ્ટાર્ટ-અપ્સ અને રોકાણકારોને સીધો લાભ મળશે. પોરબંદરમાં બ્લૂ બાયો-ઇકોનોમીથી મહિલા સશક્તિકરણ સુધીના કાર્યક્રમોપોરબંદર જિલ્લામાં 19 ડિસેમ્બરથી VGRC કાર્યક્રમોની શરૂઆત થશે. તાજાવાળા હોલ અને નટવર સિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે બ્લૂ બાયો-ઇકોનોમી માટેનો રોડમેપ, એગ્રી-ફૂડ પ્રોસેસિંગ કોન્ક્લેવ, તેમજ મહિલા સશક્તિકરણ માટેનું 'સશક્ત નારી મેળા' અને વિશાળ પ્રદર્શન યોજાશે. કાર્યક્રમમાં પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને IAS અધિકારી આર. એન. ડોડીયા હાજર રહેશે. દેવભૂમિ દ્વારકામાં એક દિવસીય ઉદ્યોગ સંમેલનજામ-ખંભાળિયામાં 19 ડિસેમ્બર બપોરે યોજાનારા કાર્યક્રમમાં પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉદ્યોગકારોને સંબોધન કરશે. ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપની હાજરીમાં સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થશે. ભાવનગરમાં ખનિજ અને ઔદ્યોગિક વિકાસ પર ફોકસભાવનગરના ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટમાં યોજાનારા VGRC કાર્યક્રમમાં પ્રભારીમંત્રી કૌશિક વેકરીયા તથા જીઓલોજી એન્ડ માઇનિંગ કમિશનર ડૉ. ધવલ પટેલ ઉદ્યોગકારોને રાજ્યની નીતિઓ અને ખનિજ ક્ષેત્રની તકો અંગે માર્ગદર્શન આપશે. બોટાદમાં MSMEs અને સ્ટાર્ટ-અપ્સને નવી દિશાબોટાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં પ્રભારીમંત્રી રીવાબા જાડેજા સાથે GIDCના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પ્રવિણા ડી. કે. ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ તકો અંગે વિસ્તૃત માહિતી આપશે. સુરેન્દ્રનગરમાં સ્ટાર્ટ-અપ અને ગ્રામ્ય ઉદ્યોગો પર ભારપંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં યોજાનારા કાર્યક્રમમાં પ્રભારીમંત્રી દર્શનાબેન વાઘેલા ઉદ્બોધન કરશે, જ્યારે કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગની સેક્રેટરી આર્દ્રા અગ્રવાલ VGRC અંગે વિશેષ રજૂઆત કરશે. MOU, ચેક વિતરણ અને ઉદ્યોગકારો સાથે સંવાદઆ તમામ જિલ્લાઓમાં સફળ ઉદ્યોગકારો સાથે સંવાદ, MOU સાઇનિંગ, ચેક વિતરણ, MSMEs અને સ્ટાર્ટ-અપ્સ માટે માર્ગદર્શક સેમિનારો તથા પ્રદર્શનો યોજાશે. VGRCની આ પહેલ સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચેનો સંવાદ મજબૂત બનાવી કચ્છ-સૌરાષ્ટ્રમાં વિકાસની નવી ગતિ લાવશે.
રાજ્યમાં આવેલા તમામ બાર એસોસિએશનની ચૂંટણી આવતીકાલે યોજવાની છે. ભારતના સૌથી મોટા બારમાં જેની ગણતરી થાય છે અને ગુજરાતના સૌથી મોટા વકીલોના બાર એવા અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી આવતીકાલે યોજાવવાની છે. જેમાં 9 હજારથી વધુ સભ્યો નોંધાયેલા છે. આવતીકાલે 6 હજારથી વધુ મતદારો મતદાન કરશે. જેમાં હોદ્દેદારોનું પરિણામ સાંજ સુધીમાં જાહેર થઈ જાય તેવી શકયતાઓ છે. ઉપ-પ્રમુખના હોદા માટે 4 ઉમેદવારો નોંધાયાઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશની ટ્રેઝરર માટે મહિલાનું પદ અનામત રાખવામાં આવ્યું છે. અમદાવાદ મેટ્રો કોર્ટ બહાર એસોસિએશન સિનિયર એક્ટિવિટી 14 જગ્યાઓ માટે 49 ઉમેદવારો નોંધાયા છે. ઉપ-પ્રમુખના હોદા માટે 4 ઉમેદવારો નોંધાયા છે. જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા માટે 12 ઉમેદવારો નોંધાયા છે. સેક્રેટરીના હોદ્દા માટે 6 ઉમેદવારો નોંધાયા છે. લાઇબ્રેરી સેક્રેટરી માટે 4 ઉમેદવારો નોંધાયા છે. ટ્રેઝરરની પોસ્ટ માટે 2 મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. ઈશ્વર દેસાઈ અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસો.ના સેક્રેટરી પદ ઉપર કાર્યરતપ્રમુખ પદ માટે બે ઉમેદવાર ઈશ્વર દેસાઈ અને હેમંત નવલખા વચ્ચેની પસંદગી માટે મતદાન કરાશે. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર ઈશ્વર દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ વર્તમાનમાં અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના સેક્રેટરી પદ ઉપર છે. તેઓએ બારની મદદથી હાઇકોર્ટ અને સરકાર સમક્ષ રજૂઆત કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કોર્ટને અપના બજારથી મેટ્રો કોર્ટની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં સ્થળાંતરણ કરાવ્યું છે. જેથી વકીલોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ન પડે. વકીલો માટે હેલ્થ પોલિસી લાગુ કરવામાં આવશેવકીલોના પાર્કિંગ અને બેઠક વ્યવસ્થાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. નેગોસિબલ કોર્ટમાં જવા ચોથા માળેથી વોક વે બ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવશે. વકીલો માટે હેલ્થ પોલિસી લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઈશ્વર દેસાઈ 1990થી બાર એસોસિએશનમાં જુદા જુદા પદો ઉપર ચૂંટાઈ આવે છે. જેમાં તેઓ સૌપ્રથમ કારોબારી સભ્ય બન્યા હતા. ચાર ટર્મ ઉપપ્રમુખ રહી ચૂક્યા હતા. વળી સેકન્ડરીના પદ ઉપર તેઓ ગત ટર્મમાં ચૂંટાઈ આવ્યા હતા.
સચીન વિસ્તારમાં આવેલી સુડા હાઉસિંગની મિલકત પચાવી પાડવાનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢમાં રહેતી 36 વર્ષીય ચાંદનીબેન ટોપીવાળાએ આ મામલે સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના પિતાનું વર્ષ 2000માં અવસાન થયું હોવા છતાં, તેમને 2004માં જીવિત દર્શાવી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી મિલકત વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે. મૃતકના નામે બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીફરિયાદ મુજબ, ચાંદનીબેનના પિતા વિપુલભાઈ ટોપીવાળાની માલિકીની એક મિલકત સચીન સુડા હાઉસિંગમાં એપ્રિલ 1993થી હતી. વિપુલભાઈનું અવસાન ઓગસ્ટ, 2000માં થયું હતું. જોકે, તેમના મૃત્યુના 4 વર્ષ બાદ એટલે કે માર્ચ 2004માં તેમને જીવિત બતાવી, સતીષ એન. શાહના નામે મિલકતની બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છેતરપિંડીનું કારણ અને મિલકતની હેરફેરઆ કૌભાંડ આચરવા પાછળનું મુખ્ય કારણ કિંમતી મિલકત પચાવી પાડી તેને બજારમાં વેચી નફો કમાવવાનો હતો. 17 માર્ચ, 2004ના રોજ આ બોગસ દસ્તાવેજના આધારે સતીષ શાહે માત્ર રૂ. 50,000માં આ મિલકત નરોત્તમભાઈ ઈશ્વરદાસ પટેલને વેચી દીધી હતી. ત્યારબાદ આ મિલકત અનેક હાથોમાં ફરી હતી, જેમાં ડિસેમ્બર 2012માં લીલાબેન મારવાડી અને હાલમાં આ મિલકત સંગીતાદેવી રાજુદાન ચારણના નામે છે. હાલ આ મિલકત પર Equitas Small Finance Bankની લોન પણ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહીજ્યારે આ સમગ્ર છેતરપિંડી ચાંદનીબેનના ધ્યાને આવી, ત્યારે તેમણે કાયદેસરની લડત શરૂ કરી હતી. સચીન પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, અન્ય એક કિસ્સામાં દિનેશભાઈ નામના વ્યક્તિ સાથે પણ Rs. 12.06 કરોડ ની છેતરપિંડીના મામલે પાર્થ ગાંધી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુરત શહેરના હાર્દ સમાન સેન્ટ્રલ ઝોનમાં આવેલા કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી નરકાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા 'ગટારીયા પૂર' જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ પાણીના નિકાલમાં સદંતર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મેટ્રોની કામગીરીના કારણે મુશ્કેલી વકરીપ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગટરની લાઈનોમાં અવરોધ ઊભો થયો હોવાનું મનાય છે. આ ક્ષતિના કારણે ગટરના ગંદા પાણીનો નિકાલ અટકી ગયો છે અને તે ઉભરાઈને આસપાસની ગલીઓ તેમજ રહેણાંક મકાનોમાં ઘુસી ગયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે અવરજવર પણ બંધ જેવી થઈ ગઈ છે. નરકાગાર જેવી સ્થિતિમાં જીવતા રહિશોઘરોમાં ગંદકી, અનેક મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પર ગટરના દુર્ગંધ મારતા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘરવખરીને મોટું નુકસાન થયું છે. સ્થગિત ગંદા પાણીને કારણે આ વિસ્તારમાં ભયાનક દુર્ગંધ ફેલાઈ છે. સાથે જ મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધતા બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર પાણી ઉતારવાની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. મેટ્રોના ખોદકામ પછી આ સમસ્યા વકરી: સ્થાનિકોસ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી ઘરમાં કેદ છીએ. મેટ્રોના ખોદકામ પછી આ સમસ્યા વકરી છે. તંત્ર માત્ર મશીનો મૂકીને સંતોષ માને છે, પણ પાણીનો નિકાલ થતો નથી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી અને પમ્પિંગ કરી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.
આજે જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક ચેરમેન પલ્લવી ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લગતા અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેને કારણે જૂનાગઢવાસીઓને લાંબા સમયથી ચાલી રહેલી અનેક સમસ્યાઓમાંથી રાહત મળવાની આશા ઊભી થઈ છે. બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય શહેરના રોડ-રસ્તાઓના સુધારાને લઈને લેવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં રૂ. 275 કરોડના ખર્ચે રોડ-રસ્તાના વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનો નાખવાના કામ બાદ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા હતા, જે અંગે લોકો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા. તેને ધ્યાને રાખીને સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યું છે કે વોર્ડ નંબર 1 થી 8 તેમજ વોર્ડ નંબર 9 થી 15 સુધીના વિસ્તારોમાં સીમેન્ટ રોડ અને મુખ્ય રસ્તાઓના કામો હાથ ધરવામાં આવશે.શહેરના મુખ્ય માર્ગો માટે રૂ. 85 કરોડના ટેન્ડરો મંજૂર કરી દેવામાં આવ્યા છે અને એજન્સીની નિમણૂક પણ પૂર્ણ થઈ ગઈ છે. આ તમામ રસ્તાઓ PQC આધારિત RCC ટેકનોલોજીથી બનાવવામાં આવશે, જેથી લાંબા સમય સુધી ટકાઉ અને મજબૂત માર્ગોની સુવિધા મળી રહેશે. રસ્તાઓની આ કામગીરીથી શહેરના વાહનચાલકોની હાલાકીમાં મોટો ઘટાડો થશે. આ ઉપરાંત બેઠકમાં આવાસ યોજના અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 336 નવા આવાસોના નિર્માણ માટે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 BHK અને 2 BHK બંને પ્રકારના આવાસો બનાવવામાં આવશે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ બનશે. આ સાથે અન્ય શહેરના વિકાસ માટેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આવાસ યોજનામા 1 BHK માટે G+7 માળની 4 બિલ્ડિંગ બનાવાશે, જેમાં કુલ 224 ફ્લેટ હશે. જ્યારે 2 BHK માટે G+7 માળની 2 બિલ્ડિંગ બનાવાશે, જેમાં કુલ 112 ફ્લેટનો સમાવેશ થશે. દરેક માળ પર 8 બ્લોક રહેશે અને એક બિલ્ડિંગમાં કુલ 56 ફ્લેટની સુવિધા ઉપલબ્ધ રહેશે. ચેરમેન પલ્લવી ઠાકરે જણાવ્યું હતું કે જૂનાગઢવાસીઓની રોડ-રસ્તાની કાયમી સમસ્યાનો અંત લાવવાનો આ પ્રયાસ છે. ગટર અને પાણીની લાઈનોના કામને કારણે જે રસ્તાઓ ખરાબ થયા હતા, તેને હવે નવી ટેકનોલોજીથી મજબૂત બનાવવામાં આવશે. સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુમાં વધુ લોકોને ઘર મળે તે દિશામાં મહાનગરપાલિકા સતત આગળ વધી રહી છે.
વડોદરા જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડયુટી ગ્રાન્ટમાંથી વડોદરા જિલ્લાના 900 આંગણવાડી કેન્દ્રોને જરૂરી વાસણોનું વિતરણ તથા આરોગ્ય વિભાગની PHC અને CHC કેન્દ્રો માટે લેબર બેડના વિતરણ તથા કુટુંબ કલ્યાણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ અધિકારી/કર્મચારીના સન્માનનો કાર્યક્રમ જિલ્લા પંચાયત, વડોદરાના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉત્તમ કામગીરી બદલ અધિકારી/કર્મચારીના સન્માનનો કાર્યક્રમઆ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડાએ જણાવ્યું હતું કે, આઇસીડીએસ અને આરોગ્ય વિભાગ દ્વારા ખુબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. બહેનોને સારી રીતે જાગૃત કરવામાં આવે તો તેઓ ચોક્ક્સ પોતાની શારિરીક તંદુરસ્તી પ્રત્યે જાગૃત થાય છે. તેમણે આંગણવાડી બહેનોની કામગીરીની સરાહના કરતા બાળક સુપોષિત રહે તે સમગ્ર સમાજની જવાબદારી છે એમ કહી માતાપિતાને પણ જાગૃત બનવા અને બાળકના ખોરાકમાં ફળફળાદી અને લીલા શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. અંતે તેમણે આજે સન્માનિત થયેલા આરોગ્યકર્મીઓ પાસેથી પ્રેરણા લઇ સૌ કોઇ પોતાની કામગીરીને બહેતર બનાવે તેવી અપીલ કરી હતી. 'માતા કે બાળ મરણ ન થાય તેના માટે સૌના સહિયારા પ્રયાસ થવા જોઇએ'કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માતા બનવુ એ સમગ્ર પરિવાર માટે ખુશીની બાબત છે. જિલ્લામાં કોઇ પણ જગ્યાએ માતા કે બાળ મરણ ન થાય તેના માટે સૌના સહિયારા પ્રયાસ થવા જોઇએ. માતા અને બાળકને સુપોષિત કરીએ તેઓ સ્વસ્થ રહે તે માટે સક્રિયભાગીદારી નોંધાવીએ. તેમણે બાળકો માટે ભોજન બનાવતી વખતે તેમાં પોતાના બાળક જેવો જ પ્રેમ અને હુંફ આપે તેવી વિનંતી કરી હતી. 63.75 લાખના 85 લેબર ટેબલનું વિતરણ કરાયુંઆ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જ્યોતીબેનએ સ્વાગત પ્રવચન થકી આજના કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. તેમણે વિગતવાર જાણકારી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત, વડોદરાના સ્ટેમ્પ ડયુટી વર્ષ 2024-25ની ગ્રાન્ટમાંથી 42-PHC અને 9- CHCને કુલ 63.75 લાખના 85 લેબર ટેબલનું વિતરણ કરવામાં આવનાર છે. લેબર બેડ આપવાથી ડીલીવરીના લાભાર્થીને ડીલીવરી થયા બાદ લાભાર્થીને લેબર રૂમથી વોર્ડમાં શિફ્ટ કરવામાં અને રેફરના કિસ્સામાં વ્લીહ ચેર કે સ્ટ્રેચરનો ઉપયોગ નહિ કરવો પડે અને ડીલીવરી વખતે આરામદાયક સુવિધા મળી રહેશે. 76 અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયાવધુમાં તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ નિયોજન કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા જિલ્લામાં વિવિધ અધિકારી કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. જેના કારણે ટોટલ ફર્ટીલીટી રેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળયો છે. આ ઉત્કૃષ્ટ કામગીરી માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન આપવા ત્રણ મેડિકલ ઓફિસર કુલ 24 તાલુકાવાઈઝ ફીમેલ હેલ્થ વર્કર, કુલ 24 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, કુલ 24 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મળી કુલ- 76 અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા છે. 900 આંગણવાડીમાં આ વાસણો અપાશેઆંગણવાડી કેન્દ્રોના બાળકોના સ્વાસ્થય માટે એલ્યુમિનિયમના વાસણોમાં રાંધેલો ખોરાક હાનિકારક હોય બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી રૂ.65 લાખની ગ્રાન્ટમાંથી વડોદરા ગ્રામ્યના 900 આંગણવાડી કેન્દ્રોના બાળકો માટે રાંધવા પીરસવાના વાસણો વિતરણ કરવામાં આવશે. જેમાં સ્ટેનલેસ સ્ટીલ કુકર નંગ 1, મલ્ટી પર્પઝ કઢાઈ નંગ 1, ડિશ નંગ 20 અને ચમચી 20નો સમાવેશ કરવામાં આવ્યો છે. અધિકારી/કર્મચારીઓને પ્રશસ્તીપત્ર એનાયત કરાયાકાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે 900 આંગણવાડી કેન્દ્રોને વાસણ વિતરણ, PHC અને CHC કેન્દ્રો માટે કુલ રૂપિયા 63.75 લાખના 85 લેબર બેડના વિતરણ તથા કુટુંબ કલ્યાણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ વિવિધ અધિકારી/કર્મચારીઓને પ્રશસ્તીપત્ર એનાયત કરાયા હતા.
ભાવનગર શહેરના કરચલીયાપરામાં આવેલ સાઈઠ ફળીમાં રહેતો રીઢો ગંજેરી શેરો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને હાથ લાગતાં આ ગંજેરી પાસેથી 2.911 કિલોગ્રામ ગાંજો કબ્જે કર્યો છે. પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેરના દીકરાના ઘર માંથી એસઓજીએ ગાંજોનો જથ્થો ઝડપી લીધો હતો. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ માહિતી આધારે મામાકોઠા સાંઈઠફળીમા રહેતા અને અગાઉ ગાંજાના જથ્થા સાથે વારંવાર ઝડપાઈ ચૂકેલ રીઢો ગંજેરી રવિ ઉર્ફે શેરો નટુ બારૈયા ઉ.વ.35 ને અટકમાં લઇ પુછપરછ હાથ ધરતા તેણે જણાવ્યું હતું કે ટોળકીનગરમાં રહેતા તેના મિત્ર કુમાર મહેશ ના ઘરે ગાંજાનો જથ્થો છુપાવી ગંજેરીઓને વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું, આથી શેરાને સાથે રાખી કુમાર ના ઘરે રેડ કરતા 2 કિલો 911 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, આ ગાંજા અંગે વધુ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સુરત રેલવે પટરી પરથી ગાંજો ખરીદી કરી પોતે પણ ગાંજાનો વ્યસની હોય અને અન્ય ગાંજાના વ્યસનીઓને પણ ગાંજો વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી આથી SOG ની ટીમે રૂપિયા 1,45,600 ની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કરી શેરા વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આરોપી મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ ગાંધીનગર જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારો માટે આવતીકાલે 19 ડિસેમ્બરના રોજ નવી મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવેએ નાગરિકોને આ યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અને જરૂરી ફેરફારો કરવા અનુરોધ કર્યો છે. કાલે પાંચ વિધાનસભાની યાદી જાહેર થશેમતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ ગાંધીનગર જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારો માટે આવતીકાલે 19 ડિસેમ્બરના રોજ નવી મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લાના પાંચ મુખ્ય વિધાનસભા મતદાર વિભાગોમાં ગણતરી ફોર્મ (EF) ભરવાની કામગીરી 14 ડિસેમ્બરે પૂર્ણ થઈ છે. જે અંતર્ગત 34-દહેગામ, 35-ગાંધીનગર (દક્ષિણ), 36-ગાંધીનગર (ઉત્તર), 37-માણસા તેમજ 38 -કલોલ વિસ્તારોની યાદી પ્રસિદ્ધ થશે. નામ ઉમેરવાની સાથે સુધારા 18 જાન્યુઆરી સુધી કરી શકાશેઆ અંગે સત્તાવાર સુત્રોએ કહ્યું છે કે, જો કોઈ મતદારનું નામ યાદીમાં ન હોય, સ્પેલિંગમાં ભૂલ હોય કે રહેઠાણ બદલાયું હોય, તો તેઓ હક-દાવા અને વાંધા અરજી 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી, 2026 સુધી કરવાની રહેશે. આના માટે જેતે મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાન નોંધણી અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. વધુમાં જે મતદારો 'No Mapping' કેટેગરીમાં આવે છે, તેમને તંત્ર દ્વારા 19 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી દરમિયાન નોટિસ પાઠવવામાં આવશે. કચેરીના કામકાજના દિવસો દરમિયાન આવા મતદારોને રૂબરૂ સાંભળીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. આખરી મતદારયાદી 17 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરાશેતમામ વાંધા-અરજીઓના નિકાલ બાદ સુધારેલી ફોટાવાળી આખરી મતદારયાદી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી એ અનુરોધ કર્યો છે કે, તમામ મતદારો પોતાના નજીકના મતદાન મથક પર જઈને પ્રસિદ્ધ થયેલી મુસદ્દા યાદીમાં પોતાનું નામ ચકાસી લે. લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે સચોટ મતદારયાદી હોવી અનિવાર્ય છે તેથી કોઈ પણ વાંધા કે સૂચન હોય તો તુરંત કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી લેવું.
વડગામ તાલુકાના વરસડા ગામે 40 વર્ષના લાંબા સમય બાદ નર્મદાના પાણી પહોંચ્યા છે. આનાથી સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. આજુબાજુના ગામડાઓના લોકોએ ઢોલ-નગારા સાથે પાણીના વધામણા કર્યા હતા. વડગામ તાલુકાના 100 થી વધુ ગામડાઓમાં છેલ્લા ચાર દાયકાથી સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા હતી. પાણીના તળ ઊંડા જવાને કારણે ખેડૂતો ખેતી કરી શકતા ન હતા. આ વિસ્તારના ખેડૂતો વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને અગાઉ 20 હજાર જેટલા ખેડૂતોએ રેલી યોજી રજૂઆત પણ કરી હતી. ખેડૂતોની આ વર્ષો જૂની માંગને ધ્યાનમાં રાખીને સરકારે કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન યોજના મંજૂર કરી હતી. આ પાઇપલાઇન દ્વારા કરમાવત તળાવ, મુક્તેશ્વર ડેમ અને અન્ય ગામડાઓના તળાવો ભરવાની યોજના હતી. બે વર્ષના નિર્માણ કાર્ય બાદ, આ પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચ્યા હતા. પાણી આવતા જ વરસડા ગામના લોકો તેમજ આજુબાજુના ગામડાઓના ખેડૂતો અને ગ્રામજનોએ ઢોલ-નગારા વગાડીને નર્મદાના પાણીનું સ્વાગત કર્યું હતું. ખેડૂતોએ જણાવ્યું કે 40 વર્ષથી પાણી માટેની તેમની રાહનો અંત આવ્યો છે. આ પાણીથી હવે સૂકી જમીનને સિંચાઈ મળશે, જે ખેતી અને પશુપાલન માટે જીવાદોરી સમાન બનશે. લોકોએ સરકારના આ પાણી આપવાના અભિયાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પાલનપુરના નાયબ કલેક્ટર દ્વારા એક સિનિયર વકીલ સાથે અસભ્ય વર્તન કરવા બદલ વિવાદ સર્જાયો છે. આ ઘટનાના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી નાયબ કલેક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના પાલનપુર કચેરીમાં બની હતી. વકીલ ધીરજ ધારાણીએ એક સિનિયર સિટીઝન કેસ દાખલ કર્યો હતો, જે આધાર-પુરાવા અને રજૂઆતો બાદ છેલ્લા આઠ મહિનાથી હુકમ પર હતો. ગતરોજ વકીલ ધારાણી પાલનપુર પ્રાંત અધિકારીની ચેમ્બરમાં ગયા હતા અને આઠ માસથી હુકમ પર સહી કેમ થઈ નથી તે અંગે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન નાયબ કલેક્ટર ઉશ્કેરાઈ ગયા હતા અને વકીલને 'ગેટ આઉટ' કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સિનિયર વકીલ સાથે જાહેર નોકર ગણાતા નાયબ કલેક્ટરની આ ગેરવર્તણૂકને પાલનપુર બાર એસોસિએશને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આજે વકીલોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી નાયબ કલેક્ટર સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી. આ અંગે વકીલ ધીરજ ધારાણીએ કહ્યું હતું કે, નાયબ કલેક્ટર કમલ ચૌધરીની કોર્ટમાં મારો એક સિનિયર સિટીઝનનો કેસ હતો, જે લગભગ 19-5 એ આખરી સુનાવણી થયેલી. ત્યારબાદ હુકમ પર મુકેલો હતો. એના પછી 19-5 થી લઈને ગઈ કાલ તારીખ સુધી દર 15 દિવસે હું અને મારા જુનિયર કોર્ટમાં તપાસ કરવા જતાં હતા. ત્યારે એવું કહેવામાં આવતું હતું કે, ઓર્ડર ટાઈપ થઈ ગયો છે અને સાહેબની સહી બાકી છે. એટલે અમે આટલી રાહ જોઈ. ધીરજ ધારાણીએ વધુમાં જણાવ્યું કે, ગઈકાલે હું ગયો ત્યારે કલેક્ટર સાહેબ (નાયબ કલેક્ટર) કોઈ કામમાં નહોતા અને એકલા બેઠેલા હતા. એટલે એમની ઓફિસમાં પટાવાળાએ કહ્યું કે ચિઠ્ઠી આપો, અને ચિઠ્ઠી આપી એટલે એમને કહ્યું કે શિરસ્તેદારને મળો. હું શિરસ્તેદારને મળવા ગયો એટલે શિરસ્તેદારે કહ્યું કે સાહેબ જોડે ફાઇલ પડી છે. એટલે હું ફરીથી સાહેબની ઓફિસમાં ગયો. એ વખતે સાહેબ મોબાઈલમાં કંઈક કામ કરતા હતા અને એકલા બેઠેલા હતા. એટલે મેં એમનું ધ્યાન દોર્યું કે ભાઈ આ 8 મહિના જેવા થઈ ગયા છે અને ઓર્ડર નથી, અને આપની સહી બાકી છે તો કોઈ પૂર્તતા હોય તો મને કહો તો હું પૂર્તતા કરું, પણ આપ હુકમ કરો. એટલે એમને એવું કહ્યું કે 'હું જોઈ લઈશ'. મેં કહ્યું કે સાહેબ જોઈ લેશો ખરા, પણ કોઈ પૂર્તતા હોય તો કહો તો પૂર્તતા કરું ને આપ હુકમ કરો. તો ફરીથી એમને કહ્યું કે 'હું જોઈ લઈશ'. એટલે મેં એમને કહ્યું કે સાહેબ, જોઈ લેવાનું... ફાઇલ આપની જોડે છે તો આપ હુકમ કરો અથવા સહી કરીને હુકમ પ્રનાઉન્સ કરો. એટલે તરત જ એમને ઉગ્ર થઈને મને 'ગેટ આઉટ' એવા શબ્દો વાપર્યા. એટલે મારાથી એમને કહેવાયું કે ભાઈ, આ સરકારી ઓફિસ છે, આપ ગેટ આઉટ ન કહી શકો. એટલે વધારે ઉગ્ર થઈને આંખો કાઢવા માંડ્યા મારી સામે. એટલે હું પણ થોડો ઊંચા અવાજે બોલ્યો કે ભાઈ તમે સાહેબ, આ જે શબ્દો વાપર્યા છે એ ખરાબ છે. એટલામાં એમનો સ્ટાફ આવી ગયો અને મને સ્ટાફ બહાર લઈ ગયો. આવો બનાવ બનેલો અને મેં બાર (Bar Association) માં રજૂઆત કરી. એટલે બાર ના તમામ સભ્યોએ કહ્યું કે આ એક વકીલનું અપમાન છે અને આપણું બાર સંપૂર્ણ રીતે આજે વિરોધ કરીને નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપીને એમને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે. આ બનાવ બાબતે નાયબ કલેક્ટર કમલ ચૌધરીનો મત જાણવા માટે દિવ્ય ભાસ્કરે તેમનો સંપર્ક કર્યો હતો. જોકે, તેમણે આવતીકાલે જવા આપીશ એવું જણાવ્યું હતું.
વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઉર્જા સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કોલેજના ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર પ્રા. અનિતાબેન વાઘ દ્વારા મંગળવાર, 16 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 9:00 કલાકે રૂમ નંબર 8 માં આ સ્પર્ધા યોજાઈ હતી. કુલ 25 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ઇનોવેશન ક્લબના કો-કોઓર્ડિનેટર પ્રા. ભાવનાબેન ગોથાણાના માર્ગદર્શક પ્રવચનથી થઈ હતી. કોલેજના ઇનચાર્જ પ્રિન્સિપાલ ડૉ. નિયતિબેન ભટ્ટે વધતા પ્રદૂષણના સ્તરો, પર્યાવરણ પર તેની પ્રતિકૂળ અસરો અને યુવા પેઢીની જવાબદાર ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઉર્જા સંરક્ષણ પ્રત્યે જાગૃતિ, જવાબદારી અને સક્રિય ભાગીદારી વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણની વાસ્તવિક જરૂરિયાત અને વ્યક્તિગત સ્તરે અપનાવી શકાય તેવી ટકાઉ જીવનશૈલી અંગે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા ડૉ. જુલી કિશોરભાઈ સાવલિયાને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેમણે 'A Study of Stock Price Movement of IT Sector Companies in India' વિષય પર સંશોધન કર્યું હતું. ડૉ. સાવલિયાએ જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલી, સુરતના આચાર્ય ડૉ. મુકેશભાઈ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ આ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. આ સિદ્ધિ બદલ પીએચ.ડી. માર્ગદર્શક આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી અને સંશોધક ડૉ. જુલીને અમરોલી કોલેજ પરિવાર અને જીવનજ્યોત ટ્રસ્ટ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મજૂરી કામ કરતા બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નજીવી બાબતના ઉશ્કેરાટમાં એક મિત્રએ બીજા મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાંદેર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી લીધી છે. વાનખેડે સ્ટેડિયમની બાજુમાંથી પસાર થતા રોડ પર હત્યામળતી માહિતી મુજબ, સુરતના મોરાભાગલ વિસ્તારમાં રહેતો રાહુલ ગોર્સિંગ નામનો યુવક અને તેનો સાથી મિત્ર રાજા બંને છૂટક મજૂરી કામ કરતા હતાં. આજે(18 ડિસેમ્બરે) તેઓ રાંદેર વિસ્તારમાં વાનખેડે સ્ટેડિયમની બાજુમાંથી પસાર થતા રોડ પર કામ અર્થે ગયા હતા. કામ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં રાહુલ જમીન પર ઢળી પડ્યો હતોજોકે, આ બોલાચાલી દરમિયાન ગાળો બોલવા જેવી નજીવી બાબતે રાજા ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવીને તેણે રાહુલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. રાહુલે બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજાએ તેના પર એક પછી એક એમ કુલ ત્રણ જેટલા જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં રાહુલ જમીન પર ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયોઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે રાહુલની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રાહુલના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. રાંદેર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, નાની-મોટી બાબતો કે ઉશ્કેરણીમાં આવીને કાયદો હાથમાં ન લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ હેરાન કરતી હોય કે માનસિક ત્રાસ આપતી હોય, તો તેની જાણ તુરંત પોલીસ સ્ટેશને કરવી જોઈએ જેથી આવી દુખદ અને જીવલેણ ઘટનાઓને બનતી અટકાવી શકાય.
અમદાવાદ સ્થિત રાહી ફાઉન્ડેશન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આંબરડી ગામની પ્રાથમિક શાળાના ૨૩૨ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર ભેટ આપવામાં આવ્યા છે. આ પહેલનો ઉદ્દેશ્ય શિયાળાની ઠંડીથી બાળકોને રક્ષણ પૂરું પાડવાનો છે. આ સ્વેટર વિતરણ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ જયેશ પરીખ, નિહારિકા પરીખ, વિજય દલાલ અને મહાવીર તિવારી ઉપસ્થિત રહ્યા હતા. શાળા દ્વારા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકગણે આ વિતરણ કાર્યક્રમનું સુચારુ આયોજન કર્યું હતું.
અમદાવાદના શ્રી છારીયા ઉનેવાળ બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ નારણપુરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને કનકાઈ માતાજીની સ્તુતિથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા જ્ઞાતિબંધુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપપ્રમુખ જેન્તીભાઈ જાનીએ સ્વાગત પ્રવચન કરીને ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું હતું. બહારગામથી પધારેલા મહેમાનોનો પરિચય અને સ્વાગત કરાયું હતું. સમાજના અગ્રણીઓ કર્નલ (સેવા નિવૃત્ત) મનુભાઈ જાની અને ભરતભાઈ ઉપાધ્યાયે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં બાળકોએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ધોરણ ૧માં અભ્યાસ કરતા મનન વિશાલભાઈ ભટ્ટે શ્લોકગાન કર્યું હતું, જ્યારે ૭ વર્ષના સ્તવન જાનીએ કી-બોર્ડ પર સુંદર ગીતો વગાડીને સંગીત કલાનો પરિચય આપ્યો હતો. બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભોજન દાતા મુકેશભાઈ જોષીને સુંદર મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. સમાજના પ્રમુખે ઉદ્બોધન કર્યું હતું. કમિટી સભ્ય નીલેશ જાનીએ સમાજના બંધારણ અંગે માહિતી આપતા જણાવ્યું કે સમયની માંગ મુજબ કમિટી સભ્યોની સંખ્યામાં વધારો કરાયો છે અને હોદ્દેદારો તથા સભ્યોની મુદત ત્રણ વર્ષની નક્કી કરવામાં આવી છે. તેમણે સમાજના વિકાસ માટે સમયાંતરે નવા વિચારો અને ઉત્સાહી લોકોને તક મળતી રહે તે પર ભાર મૂક્યો હતો. કમિટી સભ્ય મમતાબેન જાનીએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર અને ઉપસ્થિત રહેલા તમામ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. વરુણ નરેશભાઈ જોષી અને વિનીત પંડ્યાએ કમિટી સભ્ય સંજયભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની યાદગાર પળોને ફોટોગ્રાફી દ્વારા કેદ કરી હતી. કાર્યક્રમનું સંચાલન નીલેશ જાની અને વૈશાલીબેન પંડ્યાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્લોક પઠન કરવામાં આવ્યું હતું. નીલેશ જાનીએ શ્લોક પઠન સાથે વર્તમાન સમયમાં બિનજરૂરી વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરનારા લોકો પર હળવો કટાક્ષ કરીને હાસ્યરસ પીરસ્યો હતો, જેનો સૌએ આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ જેન્તીભાઈ જાની અને કમિટીના સભ્યો નીતિનભાઈ જોષી, મનીષભાઈ જાની, સંજયભાઈ ઉપાધ્યાય, હિતેશભાઈ પંડ્યા, ભદ્રેશભાઈ જોષી, જયેશભાઈ જોષી, વૈશાલીબેન પંડ્યા અને મમતાબેન જાનીએ સઘન જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું હતું અને ત્યારબાદ સહભોજન લઈને કાર્યક્રમનું સમાપન થયું હતું.
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં અટલાદરા બિલથી પસાર થતી કેનાલમાં મસ મોટું ગાબડું અને ઠેર-ઠેર તિરાડો પડી જવાના કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ-રસ્તા પર ઠેર-ઠેર પાણી વહેતા રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. જ્યારે ટુ-વ્હીલર વાહનચાલકોએ પણ સાચવીને ચાલવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પાણીનો ઉપયોગ પિયત માટે થાય છેશહેરના અટલાદરા બિલ પેનલ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં મસ્ત મોટુ ગાબડુ પડતા પાણીની રેલમછેલ થઈ હતી. પરિણામે કેનાલમાં છોડાતું પાણી આસપાસના ખેતરોમાં જવાના બદલે રોડ રસ્તા પર ફરી વળ્યા હતા. આ પાણીનો ઉપયોગ ખેડૂતોને ખેતરમાં વાવેલા પાકને પોષણમાં થાય છે. આ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખરાબ રોડ વધુ ખરાબ બનવાની સંભાવનાસતત રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા પણ તૂટી જવાનો ભય વધી ગયો છે. હજી ચોમાસામાં રોડ પર પડેલા ગાબડા કેટલીય જગ્યાએ રિપેર થયા નથી. જ્યારે આવી રીતે કેનાલમાં મોટું ગાબડું પડતા હાલનો ઉબડખાબડ રસ્તો પણ વધુ તૂટવાની શક્યતા નકારી શકાતી નથી. જોકે કેનાલનું પાણી છોડતા અગાઉ પસાર થતી કેનાલમાં ગાબડા તિરાડો અંગે તંત્ર દ્વારા ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. કેનાલનું ભંગાણ સત્વરે રિપેર કરવા માગઅટલાદરા બિલ કેનાલની દિવાલો પર પણ ઠેર-ઠેર નાની મોટી તિરાડો પડી ગઈ છે. પરિણામે આ તિરાડોમાંથી પણ પાણી સતત બહાર આવ્યા કરે છે. હાલમાં આ કેનાલના ગાબડાનું ભંગાણ સત્વરે રીપેર નહીં થાય તો સ્થાનિક લોકોના ઘરોમાં પણ કેનાલનું પાણી ભરાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. અહીંયા કોઈ જોવા આવતું નથીઃ કોંગ્રેસઆ અંગે વોર્ડ નંબર 12 કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અહીંયા પાણીનો વેડફાટ તો થાય છે, પરંતુ આસપાસના રોડ-રસ્તાને પણ નુકસાન થઈ થયું છે. અહીંયા કોઈ જોવા આવતું નથી. આ ગાબડા અને તિરાડો રિપેર કરવામાં આવે તેવી તંત્રને રજૂઆત છે. રોડ રસ્તા પર પાણી ભરાયા છે અને રોડની સ્થિતિ ખૂબ ખરાબ છે.
અમદાવાદના ઘોડાસર સ્થિત તુલસી કુંજ સિનિયર સિટીઝન પરિવારે 16 ડિસેમ્બર, મંગળવારે સાંજે 5 વાગ્યે ગીતા જ્ઞાન યજ્ઞ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 20 જેટલા વડીલ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, વડીલ ભાઈ-બહેનો દ્વારા મૌખિક ગીતા શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું અને તેનું અર્થઘટન પણ રજૂ કરાયું હતું. ગીતાના પ્રખર વિદ્વાન શ્રી બાલકૃષ્ણભાઈ ઠક્કરે સભ્યોને પ્રશ્નોત્તરી દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા અને ત્યારબાદ ગીતા પર એક સુંદર પ્રવચન આપ્યું હતું. ભાગ લેનાર દરેક સભ્યને સંસ્થા દ્વારા અને આમંત્રિત મહેમાનો દ્વારા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને સંસ્થાની બહેનો દ્વારા ગીતા માતાની પ્રાર્થના સાથે થઈ હતી. સંસ્થાના પ્રમુખે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનો પરિચય કરાવી તેમનું સ્વાગત કર્યું હતું. અન્ય હોદ્દેદારોએ પણ પ્રસંગોચિત ઉદબોધન કરી કાર્યક્રમની શોભા વધારી હતી. અંતમાં, સંસ્થાના સભ્ય શ્રી યોગેશભાઈ પટેલ પરિવારે આરતી અને પ્રસાદની સેવા આપી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે, સીઝનને અનુકૂળ ઊંધિયું, જલેબી અને લીલવાની કચોરીના ભોજનનો સ્વાદ માણી સૌ સભ્યો છૂટા પડ્યા હતા.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત 'જલકથા અપને અપને શ્યામ કી'ના બીજા દિવસે કવિ ડૉ. કુમાર વિશ્વાસે રાજકોટના રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટરમાં હજારો શ્રોતાઓ સમક્ષ કૃષ્ણપ્રેમનું વર્ણન કર્યું હતું. તેમણે રાધા, મીરા અને રૂક્ષ્મણીના કૃષ્ણ પ્રત્યેના સમર્પણ અને ત્યાગને ભાવવાહી શૈલીમાં રજૂ કર્યો હતો, જેનાથી શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા. ડૉ. વિશ્વાસે જણાવ્યું હતું કે, ધર્મને સુરક્ષિત રાખો જેથી ધર્મ આપણને સુરક્ષિત રાખે. તેમણે સાંપ્રત સમયમાં સનાતન ધર્મ વિશે યુવાનોમાં જાગૃતિ લાવવાના પ્રયાસની પ્રશંસા કરી હતી. તેમણે ગોપીઓના નિષ્કપટ પ્રેમ, રાધાના સમર્પણ ભાવ, રૂક્ષ્મણી કથા અને મીરાની ભક્તિને એકબીજા સાથે જોડીને કૃષ્ણને પામવાની ચાહતનું સુંદર વર્ણન કર્યું હતું. તેમણે વૃંદાવનમાં કૃષ્ણ લીલા નિહાળવા સ્વયં શિવજી ગોપી વેષે ઉપસ્થિત રહ્યા હોવાનો પ્રસંગ પણ વર્ણવ્યો હતો, જેનાથી શ્રોતાઓ ભાવુક થયા હતા. ડૉ. કુમાર વિશ્વાસે કૃષ્ણને પ્રેમના મનોવિજ્ઞાનને સમજાવનાર પ્રથમ વ્યક્તિ ગણાવ્યા હતા. તેમણે માતા યશોદાના માતૃપ્રેમ, ગોપીઓના સખાભાવભર્યા પ્રેમ, રાધાજીના બાલ્યાવસ્થાના મુગ્ધ પ્રેમ, રૂક્ષ્મણીજીના જીવનસંગીના પ્રેમ અને મીરાના ભક્તિભર્યા પ્રેમને વ્યાખ્યાયિત કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે રાધા વિના શ્યામની વ્યાખ્યા અધૂરી છે. તેમણે કૃષ્ણને રંગભેદ સામે વિશ્વને સંદેશ આપનાર પ્રથમ વ્યક્તિ તરીકે ઓળખાવ્યા અને તેમના શ્યામ રંગને સર્વવ્યાપી ગણાવ્યો. ડૉ. વિશ્વાસે રામાવતાર અને કૃષ્ણાવતારની તુલના કરતા કહ્યું કે રામના દુઃખોએ વિશ્વને બાંધ્યા હતા, જ્યારે કૃષ્ણના સુખોએ વિશ્વને બાંધ્યા. તેમણે કૃષ્ણની રાસલીલાનું પણ વર્ણન કર્યું. કથા દરમિયાન ડૉ. કુમાર વિશ્વાસે ઉત્સવપ્રિય ગુજરાતીઓની અને ગુજરાતના દાનેશ્વરીઓની પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાતમાં થતા ભવ્ય લગ્ન સમારોહની રોચક વાતો પણ શેર કરી હતી. તેમણે 17મી બુધવારે 'જલકથા'ના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને રેસકોર્સમાં ઉમટી પડવા આહ્વાન કર્યું હતું.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળેલી રાહત બાદ વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવ યોજાયો હતો. તેમજ ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આ રાહત બાદ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે ભાજપ સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસના અગ્રણી નેતા કિશન પટેલે જણાવ્યું કે, છેલ્લા એક દાયકાથી ભાજપ સરકાર ED અને અન્ય સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હેરાન કરી રહી હતી. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી સમયે પણ કલાકો સુધી પૂછપરછ કરીને કોંગ્રેસની છબી ખરડવાના પ્રયાસો થયા હતા. જોકે, અંતે ન્યાયતંત્રએ સત્યનો વિજય કરાવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, કેન્દ્ર સરકાર વિપક્ષને દબાવવા માટે ન્યાયપાલિકા અને તપાસ સંસ્થાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. કિશન પટેલે માંગણી કરી હતી કે, જે અધિકારીઓએ ખોટા કેસ કરીને નેતાઓને હેરાન કર્યા છે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કાર્યક્રમ દરમિયાન ‘ડરો મત’ ના નારા સાથે લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે, અન્યાય સામે અવાજ ઉઠાવતા ગભરાવાની જરૂર નથી. કોંગ્રેસ નેતાએ ચેતવણી ઉચ્ચારી હતી કે, સરકારો હંમેશા એક સરખી રહેતી નથી. આગામી સમયમાં જ્યારે સત્તા પરિવર્તન થશે, ત્યારે સત્તાનો દુરુપયોગ કરનારા અધિકારીઓએ પણ જેલના સળિયા પાછળ જવું પડશે. વલસાડના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ભાજપ વિરોધી દેખાવો કર્યા હતા.
ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:નેશનલ હેરાલ્ડ કેસમાં ED કાર્યવાહીનો વિરોધ, કોંગી આગેવાનોની અટકાયત
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગ સામે 'સત્યની જીત'ના સૂત્ર સાથે પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શન નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં હતું. કોંગ્રેસે આ કાર્યવાહીને રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત ગણાવી હતી. પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે આ પદયાત્રાનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે સત્યને દબાવી શકાય નહીં અને અંતે સત્યની જીત થશે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, યુવા નેતા અને પૂર્વ લોકસભાના ઉમેદવાર શેરખાન પઠાણ, ઝુબેર પટેલ સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
SGFI-સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે દેશભરની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે આકર્ષણ જાગે અને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ ગેમ્સ રમાડવામાં આવે છે. મધ્યપ્રદેશના સાગર શહેરમાં યોજાઈ રહેલી આવી જ બેડમિન્ટનની અંડર-14 કેટેગરીની બોયસ અને ગલર્સની ટુર્નામેન્ટમાં ભારે આરાજકતાનો માહોલ ઉભો થયો હતો. ગઈકાલથી આ મેચો ચાલુ થઈ હતી, પરંતુ આયોજન શિસ્તબદ્ઘ ન હોવાથી સાંજની મેચ છેક રાત્રે બે વાગ્યે રમાડવામાં આવી હતી. જેથી ખેલાડીઓ ઉશ્કેરાયા હતા અને મેચ રમવાની ના પાડી દીધી હતી. આખરે એ મેચો હવે આજે રમાડાઈ રહી છે. SGFI દ્વારા રમાડાતી આ ટુર્નામેન્ટ નેશનલ કક્ષાની છે. ગુજરાતની બોયસની ટીમ માટે પ્રથમ દિવસ જ ખરાબ રહ્યોબેડમિન્ટનની અંડર-14ની બોયસ અને ગલર્સની કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડાઈ રહી છે. તમામ મેચો પાંચથી છ કલાક મોડી ચાલે છે. ગુજરાતમાંથી બોયસ અને ગલર્સની ટીમો મધ્યપ્રદેશમાં પહોંચી ગઈ છે. ગઈકાલે છોકરીઓની મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાડવાની હતી. ખેલાડીઓ ક્યારના પોતાની મેચ આવે તેની રાહ જોઈને બેઠા હતા. બીજી બાજુ ટુર્નામેન્ટની મેચોનું આયોજનુ ખુબ જ નબળુ હોવાથી તમામ મેચો પાંચથી છ કલાક મોડી ચાલતી હતી. જ્યારે ખેલાડીઓ તો બપોરના સમયથી જ મેચના સ્થળે હાજર થઈ ગયા હતા. અહીંથી કેટલાક ખેલાડીઓ સાથે તેમના માતા-પિતા પણ ગયા છે, ગઈકાલથી મેચો શરૂ થઈ હતી. ગુજરાતની બોયસની ટીમ માટે પ્રથમ દિવસ જ ખરાબ રહ્યો હતો. કેમકે આખો દિવસ રાહ જોયા છતાં એકપણ મેચ રમી શકાઈ નહોતી. સાંજની મેચો મોડી રાત્રીએ રમાડવાનું શરુ કરતા ખેલાડીઓ બગડ્યાદરેક ટુર્નામેન્ટની તમામ મેચો માટે અગાઉથી જ સમય નિર્ધારીત કરાતો હોય છે. ખાસ કરીને સ્ટેટ અને નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં સમયનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે. નિર્ધારીત સમય પહેલા તમામ ખેલાડીઓએ અડધો કલાક પહેલા હાજર રહીને રીપોર્ટીંગ કરાવવાનું હોય છે. ઘણી વખત તો મોડા પહોંચનારા ખેલાડીઓને રમવા દેવાતા નથી. તેમની બદલે તેમના વિરોધી ખેલાડીઓને જ રમ્યા વગર વિજેતા કરી દેવાતા હોય છે. જ્યારે ખુદ આયોજકો જ પાંચથી છ કલાક મેચો મોડી રમાડે ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કોઈ જ એક્શન શા માટે નથી લેવાતા એવા પ્રશ્નો અહીં પહોંચેલા ખેલાડીઓના માતા-પિતા પૂછી રહ્યાં છે. સાંજની સાડા પાંચ વાગ્યાની મેચ મોડી રાત્રે 12 વાગ્યે રમાડાતા ખેલાડીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આખો દિવસ ઉભા રહીને કે બેસીની કંટાળી-થાકી ગયેલા ખેલાડીઓએ ગઈકાલે રાત્રે મેચ રમવાની જ ના પાડી દીધી હતી. સાગરના ત્રણ સ્થળે મેચો રમાઈ છે પણ કોટની હાલત ખુબ જ ખરાબસાગર શહેરના ત્રણ અલગ અલગ સ્થળે બેડમિન્ટન ટુર્નામેન્ટની મેચો રમાડાઈ રહી છે. ત્યાં ગયેલા ખેલાડી-વાલીઓ અને કોચનુ કહેવું છે કે, ત્રણેય જગ્યાએ જે કોટ છે તે ખુબ જ ઉતરતી કક્ષાના અને ખરાબ છે. જેમે કે, એક જગ્યાએ ત્રણ કોટ છે જે ખુબ જ ઘસાયેલા છે. ખેલાડીઓ સ્લીપ થઈને પડી જાય છે. જો બુટના તળીયે થોડુ પાણ લગાડવામાં આવે તો સ્લીપ ઓછા થવાય છે. નેશલલ કક્ષાની અનેક ટુર્નામેન્ટમાં સારા સારા ખેલાડીઓ આ પ્રકારના સ્લીપરી કોટમાં બુટની નીચે થોડુ પાણ લગાડતા હોય છે, પરંતુ અહીં ખેલાડીઓ પાણ લગાડવા જાય છે તો મેચના અમ્પાયરો તેમને તેની છૂટ પણ આપતા નથી. પ્રથમ દિવસે ગલર્સે બાજી મારી, બે મેચો જીતીટુર્નામેન્ટના પ્રથમ દિવસે ગલર્સની ટીમે બાજી મારી હતી. એક એક ટીમમા પાંચ પાંચ છોકરીઓ છે. જેમાં કુલ ત્રણ મેચો રમવાની હોય છે. આ ત્રણમાં બે મેચ સિંગલ અને એક મેચ ડબલની હોય છે. આ ત્રણ પૈકીમાંથી કોઈપણ બે મેચ જીતનારી ટીમ આગળ વધે છે અને હારી જનારી ટીમે પરત ફરવું પડે છે. ગઈકાલે ગુજરાતની છોકરીઓની ટીમે બે ટીમને પછાડી આગળ વધી રહી છે. ટીમનું આ ફોર્મ ચાલુ રહેશે તો ફાઈનલ સુધી પહોંચવાની પૂરી તક છે. SGFIની આ ટુર્નામેન્ટમાં કઈ રીતે થાય છે ખેલાડીઓની પસંદગી સ્કૂલ ગેમ્સ ફેડરેસન ઓફ ઈન્ડિયાની આ ટુર્નામેન્ટમાં પસંદ થવુ એ ખુબ જ કઠીન કામ છે. સમગ્ર રાજ્યમાંથી ટોપના પાંચ ખેલાડીઓની પસંદગી થાય છે. જેના માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા SGFIના નિયમો મુજબ સ્કૂલના બાળકોની મેચો રમાડવામાં આવે છે. સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પાંચ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. ત્યાર બાદ પસંદ થયેલા તમામ જીલ્લાના આ તમામ ખેલાડીઓ વચ્ચે મેચો રમાડવામાં આવે છે. જેમાંથી ટોપ-8ની પસંદગી થાય છે. જેમાંથી ટોપ-5 નેશનલ ટુર્નામેન્ટમા રમવા જાય છે. જ્યારે બાકીના ત્રણ ખેલાડીઓ રીઝર્વમાં હોય છે. કોઈને ઈજા થાય કે બીમારી જેવા કોઈ કિસ્સામાં રીઝર્વ ખેલાડીને રમાડવામાં આવે છે. નેશનલ ટુર્નામેન્ટ માટેના આવવા-જવાનો, ત્યાં જમવાનો અને રહેવાનો ખર્ચ સરકાર આપે છે. આ ટર્નામેન્ટનું સર્ટીફિકેટ પણ ઘણુ જ મહત્ત્વ ધરાવે છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના હિન્દુ અધ્યયન કેન્દ્ર દ્વારા 'BKS ઓરિએન્ટેશન'નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ કોલેજોમાં ભારતીય જ્ઞાન પરંપરા (BKS) શીખવતા શિક્ષકો માટે આ કાર્યક્રમ યોજાયો હતો. કુલપતિ, રજિસ્ટ્રાર અને મોટી સંખ્યામાં અધ્યાપકો હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારતીય જ્ઞાન પરંપરા ફક્ત ભૂતકાળની સ્મૃતિ નથી, પરંતુ એક જીવંત ચેતના છે જે વર્તમાન અને ભવિષ્યની દિશા નક્કી કરે છે. તેમણે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભારતીય દર્શન, જીવન મૂલ્યો અને લોક શાણપણને અસરકારક રીતે સમાવિષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ દાન ગઢવીએ ભારતીય જ્ઞાન પરંપરામાં રહેલા લોકો, પ્રકૃતિ અને સમાજ વચ્ચેના સંતુલનને આજના વૈશ્વિક સંદર્ભમાં ખૂબ જ સુસંગત ગણાવ્યું હતું. તેમણે BKS સાથે સંકળાયેલા શિક્ષકો પાસેથી આ પરંપરાને શૈક્ષણિક શિસ્ત તેમજ સામાજિક ચેતના સાથે સાંકળવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા વસંતભાઈ ગામિતે આદિવાસી સમાજ પર કેન્દ્રિત વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ડાંગ પ્રદેશના આદિવાસીઓના પરંપરાગત ઔષધીય જ્ઞાન, દવાઓ અને સારવારના વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણની આવશ્યકતા વિશે વાત કરી હતી. તેમણે આદિવાસી જીવનમાં સોળ વિધિઓની વિભાવના વિશે પણ વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે, ડૉ. અર્પિત દવેએ ભારતીય જ્ઞાન પરંપરાના બીજા અને ચોથા સેમેસ્ટર સાથે સંબંધિત વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે શિક્ષણ અભિગમ અને તેની વ્યવહારુ ઉપયોગિતા વિગતે સમજાવી હતી. કાર્યક્રમના અંતે, હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાનના સંયોજક ડૉ. ભરત ઠાકોરે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અભિગમનો અર્થ ફક્ત ભૌતિક પ્રગતિ જ નથી, પરંતુ સમાજ, સંસ્કૃતિ અને ચેતનાનો સંકલિત વિકાસ પણ છે. તેમણે ભારતીય જ્ઞાન પરંપરામાં વિકાસને જાહેર કલ્યાણ, સંવાદિતા અને ટકાઉપણા સાથે જોડવામાં આવે છે, જ્યાં વ્યક્તિ, સમાજ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન આવશ્યક માનવામાં આવે છે. ડૉ. ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી વિકાસની દિશા ભારતીય બૌદ્ધિક પરંપરા સાથે સુસંગત ન હોય ત્યાં સુધી તે લાંબા ગાળાની અને સર્વવ્યાપી ન હોઈ શકે. ભારતીય દ્રષ્ટિકોણમાં, સ્થાનિક જ્ઞાન, આદિવાસી અનુભવો, લોક પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખીને વિકાસ આગળ વધવો જોઈએ. અંતે, તેમણે બધા મહેમાનો, વક્તાઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે વર્ષ 2003માં સાબરકાંઠા સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા સામે અપીલ કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે હત્યાના આરોપસર 9 વ્યક્તિઓને નિર્દોષ છોડ્યા હતા. હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા સરકારની અપીલ નકારી નાખી છે. ટોળાએ ટ્રક ડ્રાઇવર પાસે લાયસન્સ જોવા માંગ્યું હતુંકેસને વિગતે જોતા વર્ષ 2002માં ગોધરા-સાબરમતી એક્સપ્રેસને સળગાવાતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. આ સમયે મોડાસાના ઇકબાલ બાકરેલીયા કંડકટર મોહમ્મદ સાહિદ સાથે અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે તાજપુર સ્ટેન્ડ, પ્રાંતિજ ખાતે પહોંચ્યા, ત્યારે ટોળાએ તેમને રોક્યા હતા. ટોળાએ ટ્રક ડ્રાઇવર પાસે લાયસન્સ જોવા માંગ્યું હતું. ટોળાએ ડ્રાઈવરને માર મારતા તેનું મોત થયું હતુંપરંતુ પરિસ્થિતિ પારખી જઈને ટ્રક ડ્રાઇવર ઇકબાલે ટ્રક રોડની બાજુમાં આવેલી જગ્યામાં ઉતારીને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તે અસફળ રહેતા ટોળાએ તેને પકડીને માર માર્યો હતો. જેમાં ઈકબાલનુ મૃત્યુ થયું હતું. ત્યાર બાદ ટ્રક સાથે જ તેના મૃતદેહને સળગાવી દેવાયો હતો. સાથે રહેલા કંડક્ટર સાહીદને પણ પાઈપ વાગી હતી. પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. સાબરકાંઠા સેશન્સ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડ્યા હતાઆ ઘટનાનો પોલીસ કંટ્રોલને મેસેજ મળતા પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં 6 લોકો ટ્રકની પાસે ઊભા હતા. પોલીસે તેમને પોલીસ મથકે લઈ જઈને ટ્રકચાલકને મારીને, ટ્રક સળગાવવાનો ગુનો નોંધ્યો હતો. જોકે, સાબરકાંઠા સેશન્સ કોર્ટે 14 સાહેદ અને 6 પુરાવાઓ તપાસીને આરોપીઓને નિર્દોષ છોડતા નોંધ્યું હતું કે, માત્ર ઘટનાસ્થળે હાજરીથી આરોપીઓ ટોળાનો ભાગ હતા કે તેમને જ આ કૃત્ય કર્યું છે તેમ કહી શકાય નહીં.
પાટણની સરકારી ઇજનેરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના એન.એસ.એસ. (NSS) યુનિટ અને સાયકોલોજી સેલ દ્વારા આ કાર્યક્રમ ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ બપોરે ૨ થી ૪ કલાક દરમિયાન ઇલેક્ટ્રિકલ સેમિનાર હોલ ખાતે યોજાયો હતો, જેમાં ૮૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત સરકારના યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્મા આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો અનેક માનસિક દબાણોનો સામનો કરે છે. જોકે, યોગ્ય માર્ગદર્શન, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી દ્વારા દરેક મુશ્કેલીનો સામનો કરી શકાય છે. શ્રી શર્માએ ઉપસ્થિત સૌને ભારતને 'માનસિક રીતે સ્વસ્થ રાષ્ટ્ર' બનાવવા અને જીવનમાં ક્યારેય હાર ન માનવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો કે તેઓ જીવનના કોઈપણ તબક્કે આવનારા સંઘર્ષોથી ડરશે નહીં, મુશ્કેલ પરિસ્થિતિમાં હતાશ થવાને બદલે હિંમત અને આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરશે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપશે. કાર્યક્રમના અંતે એન.એસ.એસ. સ્વયંસેવકે આભારવિધિ કરી હતી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા જાગૃતિ કાર્યક્રમો સતત ચાલુ રાખવાની ખાતરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ એન.એસ.એસ. અને સાયકોલોજી સેલના સ્વયંસેવકોની સક્રિય ભાગીદારીથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
'કિડ્સવર્સ પ્રી-સ્કૂલ' (Kiddoverse Pre School)ના ભૂલકાઓ એટલે કે 'કિડ્સ સ્ટાર્સ' દ્વારા અમદાવાદ શહેરના ફાયર સ્ટેશનની આજે (18 ડિસેમ્બર) ખાસ શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ફાયર સેફ્ટી અને આપણા રિયલ લાઈફ હીરોઝ એવા ફાયર ફાઈટરોની કામગીરી વિશે સમજ આપવાનો હતો. આ મુલાકાત દરમિયાન બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ફાયર ટ્રક, પાણીના પાઈપ (hose pipes) અને આગ ઓલવવા માટે વપરાતા વિવિધ સાધનો નિહાળ્યા હતા. ફાયર સ્ટેશનના ઓફિસરોએ બાળકોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું હતું કે આગ લાગે ત્યારે શું સાવચેતી રાખવી અને ઇમરજન્સી નંબર 101નો ઉપયોગ ક્યારે કરવો. શાળાના ડિરેક્ટર અને શિક્ષકો દ્વારા બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ આવા ફિલ્ડ ટ્રીપ દ્વારા વ્યવહારિક જ્ઞાન મળે તે હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ફાયર ફાઈટરોને મળીને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો અને આ મુલાકાત તેમના માટે એક યાદગાર અનુભવ બની રહી હતી.
માંજલપુરની અંબે સ્કૂલનો 18મો વાર્ષિક મહોત્સવ યોજાયો:'અશોક ચક્ર: 24 વચન' થીમ પર કૃતિઓ રજૂ કરાઈ
વડોદરામાં અંબે સ્કૂલ માંજલપુર (CBSE) દ્વારા ૧૬ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવારના રોજ ૧૮મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીરાવ નગરગૃહ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષના મહોત્સવની મુખ્ય થીમ અશોક ચક્ર... The 24 Vows હતી. આ કાર્યક્રમનું આયોજન બે સત્રમાં કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ શો સવારે ૧૦:૧૫ કલાકે અને બીજો શો બપોરે ૦૩:૧૫ કલાકે યોજાયો હતો. દેવ પુષ્પ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. નીરજ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અમિતભાઈ શાહ, ફાઉન્ડર ચેરમેન શ્રીમતી ભારતીબહેન શાહ અને કે.જી. વિભાગના નિયામક શ્રીમતી ભાવેશા શાહ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. વિવિધ શાળાના આચાર્યો, આમંત્રિતો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થયો હતો. શાળાના ૭૫૦ જેટલા વિદ્યાર્થીઓએ અશોક ચક્રના ૨૪ વચન થીમ પર આધારિત કુલ ૧૮ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેક્ષકોને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના પ્રતીક 'અશોક ચક્ર' વિશે માહિતગાર કરવાનો હતો. વિદ્યાર્થીઓએ અભિનય અને નૃત્ય દ્વારા સમ્રાટ અશોકના કલિંગ યુદ્ધ પછીના પરિવર્તનને દર્શાવ્યું હતું. તેમણે યુદ્ધની ભયાનકતા જોઈને અશોકે હિંસાનો ત્યાગ કરી ધર્મચક્રનો માર્ગ કેવી રીતે અપનાવ્યો, તેનું મંચન કર્યું. કાર્યક્રમમાં અશોક ચક્રનો અર્થ પણ સમજાવવામાં આવ્યો હતો. ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામેલું અશોક ચક્ર ભૂતકાળના ગૌરવ અને ભવિષ્યના માર્ગદર્શનનું પ્રતીક છે. તેની ૨૪ તીલીઓ હિંદુ પરંપરા મુજબ ૨૪ ઋષિઓ, ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરો અને દિવસના ૨૪ કલાકની અવિરત પ્રગતિનું સૂચન કરે છે. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ દ્વારા આ ચક્ર શાંતિ, સમાનતા અને અખંડિતતાનું પ્રતીક હોવાનો સંદેશ આપ્યો હતો. મુખ્ય મહેમાન ડો. નીરજ શાહે વિદ્યાર્થીઓના ઉત્સાહ અને શાળાના આયોજનની પ્રશંસા કરી હતી.
રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)એ મહેસાણા-અમદાવાદ બાયપાસ હાઈવે પર બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉપાસના સર્કલ પાસે એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી લાખોની કિંમતની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 1.09 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. ગ્રેનાઈટની આડમાં 25,747 વિદેશી દારૂની બોટલોબુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે નવો કિમીયો અપનાવ્યો હતો. ટ્રકમાં વિદેશી દારૂ છુપાવવા માટે તેના પર ગ્રેનાઈટ પાવડરની 200 બેગ ભરી દેવામાં આવી હતી. જોકે SMCની સચોટ તપાસમાં ગ્રેનાઈટની આડમાં છુપાવેલી વિદેશી દારૂની કુલ 25,747 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 94,60,400 જેટલી થાય છે. SMCએ રાજસ્થાનના શખ્સને દબોચ્યોSMCએ દારૂના જથ્થા ઉપરાંત ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ 1,09,87,536(1.09 કરોડ)ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર ભજનલાલ બિશ્નોઈ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ 4 શખ્સોની પોલીસે તપાસ શરૂ કરીઆ કેસમાં પ્રાથમિક તપાસ બાદ પોલીસે અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં દારૂ સપ્લાયર હિતેશ સુથાર, ટ્રક માલિક સ્વિફ્ટ કાર દ્વારા પાયલોટિંગ કરનાર શખ્સ, દારૂ મંગાવનાર સ્થાનિક બુટલેગર. આ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ તેજ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે હત્યાના પ્રયાસ સહિત ત્રણ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ શિવરાજ ધાખડાની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. રાજુલા નજીક હિંડોરણા ગામ પાસેના ચેતન ઓટો પેટ્રોલપંપ પર તેણે આ ગુનાઓ આચર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શિવરાજ ધાખડાએ પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, તેણે પેટ્રોલપંપના કર્મચારીઓ સાથે અપશબ્દો બોલી અને મારામારી કરી હતી. એક ટ્રક ડ્રાઈવરને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમજ પંપ માલિકને ફરિયાદ કરવા બદલ ધમકીઓ આપી હતી. આ ત્રણ ગુનાઓમાં તે વોન્ટેડ હતો. આરોપી શિવરાજ ધાખડાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેના વિરુદ્ધ રાજુલા, જાફરાબાદ, ખાંભા, દાઠા, સાવરકુંડલા અને ગીર ગઢડા સહિતના પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ભૂતકાળમાં તેની સામે પાસા અને તડીપાર જેવી કાર્યવાહી પણ થઈ ચૂકી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન અને એ.એસ.પી. જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ રાજુલા પી.આઈ. એ.ડી. ચાવડાએ અલગ અલગ ટીમો બનાવી વડ ગામ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનાના સ્થળ હિંડોરણા પેટ્રોલપંપ પર રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું અને ગુનાના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી DYSP અશોક સિંહ ગોહિલે આ અંગે માહિતી આપી હતી.
કલ્ચરલ વીકની ઉજવણી:પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે એક્ઝિક્યુટિવ ડે કમ ફેશન શોનું આયોજન કરાયું
અમદાવાદમાં આશ્રમ રોડ પર સ્થિત નવગુજરાત ટ્રસ્ટ સંચાલિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજમાં આજે (18 ડિસેમ્બર)ના રોજ કલ્ચરલ વીકના ભાગરૂપે એક્ઝિક્યુટિવ ડે કમ ફેશન શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન કોલેજની કલ્ચરલ કમિટિ દ્વારા કરવામાં આવ્યું હતું, જે પ્રિ. ડૉ. એન. ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ એક્ઝિક્યુટિવ વસ્ત્રોમાં તેમજ વિવિધ આકર્ષક પરિધાનમાં રેમ્પ વોક દ્વારા આત્મવિશ્વાસ, શિસ્ત અને વ્યક્તિત્વનું સુંદર પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓના પ્રોફેશનલ અંદાજ અને ફેશન સેન્સને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ગુણો, પ્રોફેશનલ એપ્રોચ અને આત્મપ્રસ્તુતિ વિકસાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો અને કલ્ચરલ વીકમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો. પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીઓની કેટેગરીમાં હર્ષરાજ સોલંકી અને આદર્શ મિશ્રાને તો વિદ્યાર્થિનીઓની કેટેગરીમાં વિશ્વા સોની અને ઠાકોર હીરને ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ફરિયાદને નકારી કાઢતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. આ નિર્ણયની ઉજવણીમાં વડોદરા શહેર કોંગ્રેસે 'સત્ય મેવ જયતે' પદયાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ પદયાત્રાને પગલે પોલીસે કોંગ્રેસના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું હતું કે, દેશની તાનાશાહી સરકારે ખોટા આરોપો મૂકીને ગાંધી પરિવારને હેરાન કર્યો હતો. આજે સત્યનો વિજય થયો છે. વડોદરા શહેર કોંગ્રેસની આ પદયાત્રા કારેલીબાગ સ્થિત ચિલ્ડ્રન્સ હોસ્પિટલથી શરૂ થઈ હતી અને ભાજપના શહેર કાર્યાલય તરફ આગળ વધી રહી હતી. કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને 'સત્ય મેવ જયતે'ના પ્લેકાર્ડ્સ લઈને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પદયાત્રાને પોલીસે અડધે રસ્તે રોકી દીધી હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિત આશરે 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, આ ન્યાયપાલિકાની જીત અને તાનાશાહીની હાર છે. નેશનલ હેરાલ્ડ અખબારે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભાજપ સરકારે ઈડીના માધ્યમથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ખોટા આરોપો લગાવીને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટે તેમને ક્લીન ચીટ આપી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં હિટલરશાહી ચાલે છે. અમારો કાર્યક્રમ શાંતિપૂર્ણ હતો, તેમ છતાં પોલીસે ગેરકાયદેસર ધરપકડ કરી છે. અમે આની સખત નિંદા કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, કોર્ટે મંગળવારે ઈડીની ફરિયાદને 'નોટ મેન્ટેનેબલ' ગણાવીને નકારી કાઢી હતી, જેને કોંગ્રેસે સત્યના વિજય તરીકે ઉજવ્યો છે. જોકે, કેસમાં દિલ્હી પોલીસની તપાસ હજુ ચાલુ છે.
નવસારીના એરુ ચાર રસ્તા પાસે 14 ડિસેમ્બરે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માત સ્પષ્ટ દેખાય છે. રાત્રિના 10 વાગ્યે 9 મિનિટે અબ્રામા તરફથી આવતી એક સ્વિફ્ટ કાર નવસારી શહેર તરફ વળી રહી હતી. તે સમયે પાછળથી આવેલા મોપેડ પર સવાર બે યુવાનોએ ઝડપથી કારની આગળથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં મોપેડ ચાલક યોગેશ રમેશભાઈ ગાંધીનું મોપેડ કારના આગળના ટાયર સાથે અથડાયું હતું. અકસ્માતને કારણે યોગેશ ગાંધી અને તેનો સાથી મોપેડ સાથે નીચે પટકાયા હતા. યોગેશ ગાંધીને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બે દિવસની સારવાર બાદ બ્રેઈન હેમરેજને કારણે યોગેશ ગાંધીનું મૃત્યુ થયું હતું. આ મામલે જલાલપોર પોલીસે એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યોગેશ ગાંધી તેના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તેના પરિવારમાં એક દીકરી, એક દીકરો, માતા-પિતા અને પત્નીનો સમાવેશ થાય છે.
સુરતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો માટે ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવતો એક કિસ્સો સામે આવ્યો છે. ઉધના-નવસારી રોડ પર પ્રતિબંધ હોવા છતાં BRTS રૂટમાં રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસચાલકે 'સબક' શીખવાડ્યો હતો અને અડધો કિલોમીટર કાર રિવર્સ દોડાવવી પડી હતી. રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસચાલકે 'સબક' શીખવાડ્યો'ડાયમંડ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને નિયમોના ભંગના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ખાસ કરીને BRTS રુટ માત્ર બસો માટે અનામત હોવા છતાં, સમય બચાવવાની લાલચમાં અનેક વાહનચાલકો પોતાના જીવના જોખમે તેમાં ઘૂસી જતા હોય છે. આવી જ એક ઘટના ઉધના-નવસારી રોડ પર બની હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, ઉધના-નવસારી રોડ પર આવેલા BRTS રૂટમાં એક કારચાલકે શોર્ટકટ લેવાના ચક્કરમાં રોંગ સાઈડથી પ્રવેશ કર્યો હતો. કારચાલક હજુ થોડે દૂર પહોંચ્યો જ હતો ત્યાં તેની બિલકુલ સામેથી પૂરપાટ ઝડપે એક BRTS બસ આવી ગઈ હતી. સામાન્ય રીતે આવા કિસ્સામાં બસચાલકો બ્રેક મારી દેતા હોય છે અથવા રસ્તો કરી આપતા હોય છે, પરંતુ અહીં બસચાલક મક્કમ રહ્યો હતો. બસચાલકે બસ ઉભી રાખી દીધી અને કારને રસ્તો આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરિણામે, કારચાલક પાસે પાછા વળવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અડધો કિલોમીટર સુધી કાર રિવર્સ લેવી પડીબસ ચાલકના કડક વલણને કારણે કારચાલકે પોતાની કાર રિવર્સ લેવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે, આ કારચાલકે લગભગ અડધો કિલોમીટર સુધી કાર રિવર્સમાં ચલાવવી પડી હતી. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને અન્ય મુસાફરોમાં આશ્ચર્ય ફેલાયું હતું. રિવર્સમાં જતી કારનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીઆરટીએસ રૂટ પર સીસીટીવી ક્યારે લાગશે?સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવા છતાં BRTS રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જવાના કિસ્સાઓ અટકતા નથી. અગાઉ પણ આવા કિસ્સાઓમાં ગંભીર અકસ્માતો સર્જાયા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને બસચાલકની પ્રશંસા કરી રહ્યા છે અને કારચાલક વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બીઆરટીએસ રૂટમાં પ્રતિબંધ હોવા છતાં વાહન ચલાવતા લોકોને પકડવા માટે સીસીટીવી લગાવવામાં આવનાર છે. જોકે હજુ આ નિર્ણય કાગળ પર જ છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ચાર વર્ષની બાળકીનું દાઝી જતા સારવાર દરમ્યાન કરુણ મોત નીપજ્યું છે. આ બાળકી રમતી હતી તે દરમ્યાન બાળકીનો પગ લાકડા પર પડતા લાકડું ઉછળી ગરમ પાણી કરતા વાસણ પર પડતા ગરમ પાણી બાળકી પર પડતા ગંભીર રીતે દાઝી જતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેનું આજે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. બાળકી પર ગરમ પાણી પાડતા બાળકી ગંભીર રીતે દાઝી મૂળ પંચમહાલના બાકરોલનો પરિવાર અને હાલમાં શહેરના સમા વિસ્તારમાં આવેલ નવી નગરીના રહેતા ઇશ્વરભાઇ બારીયાની ચાર વર્ષની દીકરી રિદ્ધિ ગત તારીખ 13 નવેમ્બરના રોજ ઘરે રમતી હતી. દરમ્યાન પાણી મૂકેલ ચૂલા પાસે જતા અચાનક લાકડા પર પગ પડે છે અને ત્યારબાદ લાકડું ઉછાળતા ગરમ પાણી ભરેલ વાસણ ઉછળી બાળકી પર પરે છે. સારવાર દરમ્યાન કરુણ મોતબાળકી પર ગરમ પાણી પાડતા બાળકી ગંભીર રીતે દાઝી જાય છે અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. સારવાર દરમ્યાન બાળકીની રિકવરી થાય છે પરંતુ ગંભીર રીતે દાઝી જવાના કારણે આજે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં ICU યુનિટમાં સારવાર દરમ્યાન કરુણ મોત નીપજે છે. ત્યારે આ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે બાળક પ્રત્યે ક્યારેય બેકાળજી ન દાખવે. એકની એક દીકરી ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યુંમૃતક બાળકી રિદ્ધિના પિતા ઇશ્વરભાઇ ઈલેક્ટ્રિશિયન છે અને તેઓ અહીંયા રહી વ્યવસાય કરતા હતા. આજે એકની એક દીકરી ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું છે અને કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે હાલમાં દીકરીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી થયું છે અને સમા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મકર સંક્રાંતિના તહેવાર પૂર્વે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટે ચાઈનીઝ દોરી અને માંઝાના વેચાણ તથા વપરાશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાના કડક અમલ માટે પાટણ SOGની ટીમે કાર્યવાહી કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, SOGએ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જડિયાની ખડકીમાં આવેલા મોઢેશ્વરી ગોલ્ડ પેલેસની એક દુકાન અને તિરુપતિ કોમ્પ્લેક્ષ પાછળ વિજય સિનેમા સામેના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ 153 ફીરકીઓ જપ્ત કરી હતી, જેની કુલ કિંમત ₹30,600 આંકવામાં આવી છે. પોલીસે ભાવિક વિષ્ણુભાઈ સોનેજા (રહે. પદ્મનાથ ચોકડી પાસે, પાટણ) અને જયદીપજી ભરતજી જેણાજી ઠાકોર (રહે. સાલવી વાડો, પાટણ) નામના બે શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ B.N.S. કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે પાટણ સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પી.એસ.આઈ. ડી.કે. ચૌધરી અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી હતી.
અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફી ની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65 ટકા વ્યાજ માફી આપી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ રહેલો છે. ચાલુ નાણાકીય વર્ષ પહેલા પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થાય તેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાજ માફીની યોજના લાગુ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025 - 26 સિવાયના તેની પહેલાના તમામ બાકી ટેક્સધારકોને વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ યોજનાનો 1 જાન્યુઆરી 2026થી લઈને 31 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન લોકો લાભ લઈ શકશે. જેમાં જૂની ફોર્મ્યુલા મુજબ રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકોને તેમજ ચાલી અને ઝૂંપડાના મિલકત ધારકોને 100 ટકા અને નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો પર 85થી 75 તેમજ કોમર્શિયલમાં 65થી 50 ટકા રાહત આપવામાં આવી છે. ગત વર્ષ 2024- 25માં વ્યાજ માફી ની સ્કીમ આપી હતી. જેમાં 1745.61 કરોડની આવક થઈ હતી. અમદાવાદ શહેરમાં કુલ 25.89 લાખ ટેક્સ ધારકો છે જેમાં 6.52 લાખ કોમર્શિયલ જ્યારે 19.37 લાખ રહેણાંક મિલકત ધારકો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂ. 1 એપ્રિલ 2025થી 17 ડિસેમ્બર 2025 સુધી 1710 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 1334.70 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 192.05 કરોડ, TSF ચાર્જની રૂ. 17.84 કરોડ અને વિહિકલ ટેક્સની 166.32 કરોડની આવક થઈ છે.
ઉત્તરાખંડના નૈનીતાલમાં ગુરુવારે પ્રવાસીઓથી ભરેલી UP નંબરની સ્કોર્પિયો 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. જેમાં ગાડી ચલાવી રહેલા યુવકની માતા, પત્ની અને સાળીનું મોત થયું છે. જ્યારે કારમાં સવાર અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભવાલી પોલીસે ત્રણેય મહિલાઓના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ અકસ્માત ભવાલી-અલ્મોડા નેશનલ હાઈવે પર સવારે 9:30 વાગ્યાની આસપાસ થયો હતો. માહિતી અનુસાર, ડ્રાઈવરને ઝોકું આવવાથી અકસ્માત થયો હતો. અકસ્માત બાદ રાહદારીઓએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકો સાથે મળીને ગાડીમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી નજીકના HSC સેન્ટર મોકલવામાં આવ્યા હતા, કેટલાક ઘાયલોને સુશીલા તિવારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તમામ ઘાયલો UP અને ગુજરાતના રહેવાસી છે. આ લોકો સવારે કૈંચી ધામમાં દર્શન કરવા જઈ રહ્યા હતા, પરંતુ ધામથી લગભગ 5 કિલોમીટર પહેલા જ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર તમામ લોકો પરસ્પર સંબંધીઓ હતા. અકસ્માતના PHOTOS... કૈંચી મંદિરથી 5 કિલોમીટર પહેલા અકસ્માત ભવાલી પોલીસે જણાવ્યું કે, અકસ્માત ભવાલીથી 3 કિલોમીટર આગળ નિગલટ પાસે કૈંચી મંદિરથી 5 કિલોમીટર પહેલા થયો હતો. કારમાં 9 લોકો સવાર હતા, જેમાંથી 3ના મોત થયા છે અને 6ની હાલત ગંભીર છે. સ્કોર્પિયો સેફ્ટી બેરિયર તોડીને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. કાર નદીમાં પડી હતી, જ્યાં નજીકમાં જ સ્મશાન ઘાટ છે. સ્કોર્પિયોનો નંબર UP 25DZ 4653 છે. હજુ સુધી ગાડીને બહાર કાઢી શકાઈ નથી. ઇજાગ્રસ્તોમાં બાળકો અને મહિલાઓ મૃતકોની ઓળખ ગંગા દેવી (55) પત્ની ભૂપ રામ, બ્રિજેશ કુમારી (26) પત્ની રાહુલ પટેલ રહેવાસી ગામ ચાવણ પોસ્ટ મુડિયા પોલીસ સ્ટેશન ઇજ્જતનગર બરેલી અને નેન્સી ગંગવાર (24) પુત્રી જયપાલ સિંહ ગંગવાર રહેવાસી પીલીભીત બરેલી તરીકે થઈ છે. જ્યારે ઇજાગ્રસ્તોની ઓળખ ઋષિ પટેલ ઉર્ફે યુવી (7) પુત્ર રાહુલ પટેલ, સ્વાતિ (20) પત્ની ભૂપ રામ, અક્ષય (20) પુત્ર ઓમેન્દ્ર સિંહ, રાહુલ પટેલ (35) પુત્ર ભૂપ રામ રહેવાસી ગામ ચાવણ પોસ્ટ મુડિયા પોલીસ સ્ટેશન ઇજ્જતનગર બરેલી, કરણ ઉર્ફે સોનુ (25) પુત્ર જીતેન્દ્ર અને જ્યોતિ (25) પત્ની કરણ રહેવાસી ગુજરાતનો સમાવેશ થાય છે.
પાટનગર ગાંધીનગરના નજીક આવેલા રાંધેજા વિસ્તારમાં આજે વહેલી સવારે વહીવટી તંત્ર દ્વારા 'ઓપરેશન ડિમોલિશન' હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન પર કરવામાં આવેલા ધાર્મિક દબાણને દૂર કરીને તંત્રએ આશરે 150 વાર જેટલી કિંમતી જમીન ખુલ્લી કરાવી છે. લોકો સવારે ઉઠે તે પહેલા જ દબાણ હટાવ કામગીરી શરૂ કરી દેવામાં આવીગાંધીનગરના નજીક આવેલા રાંધેજા વિસ્તારમાં આજે વહેલી સવારે વહીવટી તંત્ર દ્વારા 'ઓપરેશન ડિમોલિશન' હાથ ધરવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વહેલી સવારથી જ રાંધેજા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો જાગે તે પહેલા જ જેસીબી મશીનો અને કાફલા સાથે પહોંચેલા તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. નોટિસ છતાં દબાણ ન હટતા લેવાયા કડક પગલાં લેવામાં આવ્યા છે.આ સ્થળ પર છેલ્લા લાંબા સમયથી ધાર્મિક બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે અગાઉ અનેકવાર લેખિત નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ બાદ પણ દબાણ દૂર કરાતા ડીમોલીશન હાથ ધરાયુંનોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સ્વેચ્છાએ આ દબાણ દૂર કરી લેવું, અન્યથા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે.જોકે નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ સંબંધિત પક્ષો દ્વારા દબાણ હટાવવામાં આવ્યું નહોતું. અંતે તંત્રએ કડક વલણ અપનાવીને આજે ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરી હતી. 150 વાર જગ્યા ખુલ્લી કરાવવામાં આવીઆ કામગીરી દરમિયાન અંદાજે 150 વાર જેટલી જગ્યા પર ફેલાયેલું ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. આ જગ્યા હવે ફરીથી સરકારી હસ્તક લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જે અન્વયે આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવનાર છે.
સુરતના પુણામાં મોબાઈલ પર વાત કરતા કરતા બાઇક પર દૂધના કેન લઈ જઈ રહેલા યુવકની બાઇક આગળ ઊભી રહેલી કારને અડતી હોઈ ખસેડવાનું કહેવા પર બે માથાભારે યુવકોએ કાર ચલાવી રહેલા વોર્ડ નંબર 17ના ભાજપ વોર્ડ પ્રમુખ સાથે દાદાગીરી કરી હતી. ઈરાદાપૂર્વક બાઇક આગળ લઇ જઇ રિવર્સ લાવી કારના મેકવ્હીલને નુકસાન કરી સાગરીત સાથે મળી દૂધના એલ્યુમિનિયમ કેનનું ઢાંકણું માથામાં ફટકારી હંગામો કર્યો હતો. કાર સાથે બાઈક અથડાવી દાદાગીરી કરીબે પશુપાલકોની દાદાગીરીથી હતપ્રભ થઇ ગયેલા ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા (રહે. સત્યનારાયણ સોસાયટી, પૂણાગામ) લોન એજન્ટના વ્યવસાય ઉપરાંત વોર્ડ નંબર 17માં ભાજપ વોર્ડ પ્રમુખ તરીકેને હોદ્દો ધરાવે છે. ગતરોજ સાંજે સરથાણામાં આવેલા ભાજપ કાર્યાલયમાંથી કારમાં ઘરે આવવા નીકળેલા ધર્મેન્દ્રની નાલંદા સ્કૂલ પાસે ઊભી હતી. આગળ ટ્રાફિક હતો. સવા છ વાગ્યાના અરસામાં પશુપાલક દૂધના કેન બાઈકની બંને સાઈડ લગાવીને મોબાઈલમાં વાત કરતા કરતા કારની પાછળ ધસી આવ્યો હતો અને કારને બાઈક અથડાવી દીધી હતી. દૂધના કેનનું ઢાંકણ માથામાં માર્યુંધર્મેન્દ્રએ ચાલકને બાઇક થોડી દૂર કરવા જણાવતાં તે દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. બેફામ વાણીવિલાસ કરવાની સાથે બાઈક થોડી આગળ લઈ જઈ પરત રિવર્સમાં ખેંચી ઈરાદાપૂર્વક ભાજપના કાર્યકરની કારના આગલા વ્હીલને ટક્કર મારી નુકસાન પહોંચાડયું હતું. આ મુદ્દે એકાદ બે વખત બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પશુ પાલકે પોતાની બાઈક પર રહેલાં દૂધના કેનનું ઢાંકણ કાઢીને ધર્મેન્દ્રના માથામાં જોરથી મારી દીધું હતું. લુખ્ખાગીરી કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી લુખ્ખાગીરી અસહ્ય થઈ પડતાં કારની બહાર નીકળ્યો તે સાથે જ આ યુવકે બીજા સાગરીત સાથે હુમલો કરી દીધો હતો. માર મારવાની સાથે બીજા સાગરીતે દૂધનું કેનનું વજનદાર ઢાંકણ આ કાર્યકરના માથામાં ફટકારી દેતાં તેને ચક્કર આવવા લાગ્યા હતા. તેના કારણે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પશુપાલકની દાદાગીરી સામે રોષ પણ ઠાલવ્યો હતો. મધરાત્રે અઢી વાગ્યે પોતાની ફરિયાદ પૂણા પોલીસ મથકે માથાભારે જયદીપ વિજય ઢગલ (રહે. અમરોલી) નોંધી હતી.
આજના ડિજિટલ યુગમાં મોબાઈલનું વળગણ એક ગંભીર સામાજિક બીમારી બની રહ્યું છે. ત્યારે સુરતની ધોરણ-11માં ભણતી 16 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થીની ભાવિકા મહેશ્વરીએ આ સમસ્યાના ઉકેલ માટે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને સંપર્ક સાધ્યો છે. ભાવિકાએ પીએમ મોદીને એક વિનમ્ર પત્ર લખીને દેશના 25 કરોડથી વધુ બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઝેરીલા પ્રભાવથી બચાવવા માટે 'રાષ્ટ્રીય ડિજિટલ ડિસિપ્લિન આંદોલન' શરૂ કરવા અપીલ કરી છે. ઓસ્ટ્રેલિયાના કાયદાના સંદર્ભ સાથે સુરતની દીકરીનો પીએમને પત્રભાવિકાએ પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કડક કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ માટે યુઝરની ઉંમરનું વેરિફિકેશન કરવું ફરજિયાત બન્યું છે. ભાવિકા ઈચ્છે છે કે ભારત સરકાર પણ આ વિષયની ગંભીરતા સમજીને બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના રક્ષણ માટે કડક આચારસંહિતા અને નિયમો ઘડે, જેથી નાની વયે થતા ડિજિટલ અત્યાચારને રોકી શકાય. મોબાઈલ એડિક્શનથી મુક્તિ માટે એક 'આઠમો સંકલ્પ' ઉમેરવામાં આવે'મોબાઈલની દેશવ્યાપી અસરને જોતા, ભાવિકાએ વિનંતી કરી છે કે પીએમ મોદી 'મન કી બાત'ના આગામી એપિસોડમાં 'ડિજિટલ ડિસિપ્લિન' અને 'ચાઈલ્ડ મેન્ટલ હેલ્થ' પર ચર્ચા કરે. ભાવિકાનું સૂચન છે કે જે રીતે વડાપ્રધાને દેશવાસીઓને 'સાત સંકલ્પો' આપ્યા છે. તેમ જ મોબાઈલ એડિક્શનથી મુક્તિ માટે એક 'આઠમો સંકલ્પ' ઉમેરવામાં આવે. તેનો ઉદ્દેશ્ય ટેકનોલોજીને બંધ કરવાનો નથી, પરંતુ તેના ઉપયોગની મર્યાદા નક્કી કરી તેને જવાબદાર બનાવવાનો છે. કોણ છે દીકરી ભાવિકા?માત્ર 16 વર્ષની ઉંમરે ભાવિકા મહેશ્વરીએ જે સિદ્ધિઓ મેળવી છે તે કોઈ ચમત્કારથી ઓછી નથી. 4 વખત વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને TEDx સ્પીકર ભાવિકાએ અત્યાર સુધીમાં 5 પુસ્તકો લખ્યા છે. તેનું પુસ્તક 'ડિજિટલ ડિસિપ્લિન' તો CBSEના અભ્યાસક્રમમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. તે ગુજરાત સરકારના 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે અને ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. સાત વર્ષનો સેવાયજ્ઞ અને 7 પુસ્તકો લખ્યા 'હું મોબાઈલ વાપરું છું પણ ગુલામ નથી'આજના બાળકોને એક સચોટ સંદેશ આપતા ભાવિકાએ કહ્યું કે, હું પોતે મોબાઈલ વાપરું છું, પરંતુ શું જોવું અને કેટલા સમય સુધી જોવું તે હું નક્કી કરું છું. તે કહે છે કે ટેકનોલોજી આપણને ચલાવે તેના બદલે આપણે ટેકનોલોજીને ચલાવતા શીખવું જોઈએ. જો સમયસર જાગૃતિ નહીં આવે, તો આવનારી પેઢીનું બાળપણ ડિજિટલ સ્ક્રીન પાછળ ખોવાઈ જશે. જેના દૂરગામી પરિણામો દેશ માટે ખૂબ જ ભયજનક હોઈ શકે છે. જો વડાપ્રધાન આ મંચ પરથી 'ડિજિટલ ડિસિપ્લિન' અને 'ચાઈલ્ડ મેન્ટલ હેલ્થ' પર વાત કરે, તો તે દેશના 25 કરોડથી વધુ બાળકો અને તેમના વાલીઓ માટે માર્ગદર્શક બની રહેશે. હું જ્યારે પણ સમય મળે વિદ્યાર્થીઓને મોબાઈલ એડિકશનથી દુર રાખવા કાઉન્સેલિંગ કરું છું. PMO બાળકીના વિઝનને પ્રોત્સાહન આપે છે કે કેમ તે જોવાનું રહ્યુંસુરતની 16 વર્ષીય દીકરીએ વડાપ્રધાનને લખેલો આ પત્ર અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરતની ભાવિકાની આ નિખાલસ અને તર્કબદ્ધ અપીલ પાછળ એક જ હેતુ છે - ભારતનું ભવિષ્ય એટલે કે દેશના બાળકો સુરક્ષિત રહે. હવે સૌની નજર વડાપ્રધાન કાર્યાલય (PMO) પર છે કે તેઓ આ નાની બાળકીના મોટા વિઝનને કેવી રીતે પ્રોત્સાહન આપે છે. જો આ 'ડિજિટલ શિસ્ત'નું જન આંદોલન બનશે, તો તે 21મી સદીના ભારતના નિર્માણમાં એક ઐતિહાસિક સોપાન સાબિત થશે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં નવ પ્રસ્થાપિત ‘સંતરામ ભવન’ (સાયન્ટીફીકલી એડવાન્સડ ન્યુ-ઇમર્જિંગ ટેક્નોલોજી રિસર્ચ એન્ડ એનાલિટિકલ મૂલ્યાંકન ભવન) નો નામાભિધાન સમારોહ યોજાયો હતો. પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંતો, કથાકાર રમેશભાઈ ઓઝા (સાંદીપનિ આશ્રમ, પોરબંદર), અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી ગુરુશરણાનંદજી મહારાજ (રમણરેતી, મહાવન, મથુરા), ઉમરેઠના સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ અને નડિયાદના સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજના હસ્તે ‘સંતરામ ભવન’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંતોના હસ્તે તકતીનું અનાવરણ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોએ સંતરામ ભવનમાં ડીજીટલ પેપરલેસ એક્ઝામ સેન્ટર તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. સંતોએ ચારુસેટની ગુજરાતમાં સૌપ્રથમ ડીજીટલ પેપરલેસ એક્ઝામની પહેલને બિરદાવી હતી. સંતરામ ભવનના મુખ્ય દાતા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને સંતરામ ભકત દેવાંગભાઈ પટેલ અને ઈપ્કો પરિવાર છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ ડીજીટલ પેપરલેસ એક્ઝામ શરુ કરનાર ચારુસેટ છે. અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી ગુરુશરણાનંદજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાનો ઉપયોગ વિનયની પ્રાપ્તિ માટે કરવો જોઈએ. વિનયના અભાવની સ્થિતિમાં સદગુરુની જરૂર પડે છે. વિદ્યા પ્રાપ્ત કરવાનું અંતિમ સાધન ગુરુની શરણાગતિ છે. તેઓએ વિદ્યાર્થીઓને કહ્યું કે, ગુરુજનોને સંતાનથી પ્રિય શિષ્ય હોય છે, તે જ રીતે વિદ્યાર્થીઓને પણ ગુરુ પ્રત્યે સૌથી વધુ આદર હોય છે. તમે ગુરુ પાસેથી જે સ્કીલ પ્રાપ્ત કરશો તે તમને જીવનમાં સફળ બનાવશે. તમારે જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, સંતરામ ભવનમાં ડીજીટલ પેપરલેસ એક્ઝામ સેન્ટર બદલાતી દુનિયાનું અનુકરણીય ઉદાહરણ છે. પેપરલેસ વર્લ્ડમાં ગુજરાતનું પ્રથમ સેન્ટર બનાવવાનું શ્રેય ચારુસેટને જાય છે ત્યારે આવા સદકાર્યો માટે યોગદાન આપનાર ઈન્દુકાકાના પરિવારને ધન્યવાદ પાઠવ્યાં હતાં. તેઓએ વિદ્યાર્થીઓને સમયની સાથે અત્યાધુનિક ટેકનોલોજી શીખવા અનુરોધ કર્યો હતો અને કહ્યું કે, દુનિયા ઝડપથી બદલાય છે અને તેની સાથે તાલ ન મિલાવીએ તો પાછળ રહી જશો. તેઓએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે ગુરુજનોમાં, ભગવાનમાં, પોતામાંના વિશ્વાસ રાખવો તે જ તમને ટકાવી રાખે છે. ઉમરેઠના સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે સંસ્થાનું નામ સંતરામ મહારાજ સાથે જોડાયું છે ત્યારે સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિમાં જે વિદ્યાર્થી ભણશે તે સમાજ-દેશને ઉન્નત કરશે. ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચારુસેટ યુનિવર્સિટીનું સૌભાગ્ય છે કે, પહેલેથી સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે જેથી ચારુસેટની પ્રગતિ થઇ છે. ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે જણાવ્યું હતું કે, દાનનો પ્રવાહ વહેવડાવવાના વારસાને યથાવત રાખીને દેવાંગભાઈ પટેલે ચારુસેટમાં મલ્ટી-યુટિલિટી બિલ્ડિંગની સ્થાપનામાં અગ્રેસર ભૂમિકા અદા કરી છે. જેનું નામાભિધાન ‘સંતરામ ભવન’ તરીકે કરવામાં આવ્યું છે. આ સમારોહમાં અધ્યાત્મ, પરોપકાર અને શિક્ષણનો ત્રિવેણી સંગમ થયો હતો, જે ચારુસેટની પ્રગતિ, સેવા અને ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશનની અવિરત યાત્રામાં દેવાંગભાઈ પટેલના માતબર યોગદાનને ઉજાગર કરે છે. ચારુસેટના વિકાસમાં ઇપ્કો પરિવારના માતબર યોગદાન પર ભાર મુકતા ચારુસેટના રજીસ્ટ્રાર ડૉ. બિનિત પટેલે કહ્યું કે ચારુસેટની નોંધપાત્ર પ્રગતિમાં સ્વ. ઇન્દુકાકા, દેવાંગભાઇ અને અનિતાબેનનો આર્થિક સહયોગ કેન્દ્રસ્થાને છે. રૂપિયા 25 કરોડથી વધુના યોગદાન સાથે દેવાંગભાઇ પટેલ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત દાતાઓમાં સ્થાન ધરાવે છે, જેમના માતબર દાનથી ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIIM), દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR), અને અનિતા દેવાંગ પટેલ ઇપ્કોવાલા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની મુખ્ય એકેડેમીક અને રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ્સનો ઉદય થયો છે. આ પ્રસંગે ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ- સીએચઆરએફના સેક્રેટરી ડૉ. એમ.સી.પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, સીએચઆરએફ-ચારુસેટ હોસ્પિટલના પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, ચારુસેટના રજીસ્ટ્રાર ડૉ. બિનિત પટેલ, અનિતાબેન દેવાંગભાઈ પટેલ, ઈપ્કો પરિવારજનો ઉપરાંત માતૃસંસ્થા, કેળવણી મંડળ અને સીએચઆરએફના પદાધિકારીઓ, ચારુસેટ પરિવાર, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ તાલુકાના ગુંદલાવ ગામના સરપંચ નીતિન પટેલ પર ગુરુવારે સવારે ઘડોય ફાટક નજીક હુમલો થયો હતો. જૂની અદાવતમાં પેવર બ્લોકથી કરાયેલા આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ છે અને હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરપંચ નીતિન પટેલ સવારે પોતાની દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. જૂની અદાવતના કારણે તેમની કાર ઉપર પેવર બ્લોક ફેંકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે નીતિન પટેલ કારમાંથી નીચે ઉતરી વાતચીત કરવા ગયા, ત્યારે ગુસ્સે ભરાયેલા કેટલાક શખસોએ પેવર બ્લોક મારી તેમની ઉપર હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે બુમાબુમ થતાં આસપાસના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક અગ્રણીઓએ સરપંચને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. માથામાં ગંભીર ઈજા થવાના કારણે હાલ તેમની સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ મારામારી જૂની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. PI એસ.એન. ગડ્ડુંના નેતૃત્વમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વલસાડ રૂરલ PI એન એસ ગડ્ડુંએ જણાવ્યું હતું કે, ગુંદલાવના સરપંચ અને એક પરિવાર વચ્ચે જૂની અદાવત ચાલતી આવી છે. જેને લઈને આજે નીતિન પટેલ તેમની કારમાં તેમની દીકરીને સ્કૂલે મુકવા જતા હતા. દરમિયાયાન સવારે કારના કાચમાં છુટ્ટો પથ્થર મારી હુમલો કરાયો હતો. નીતિનભાઈ કારમાંથી ઉતરી વાત કરવા જતાં તેને માર માર્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હાલ પૂછપરછ ચાલી રહી છે.
જે દીવાલોએ 15 વર્ષ સુધી એક પરિવારને હૂંફ આપી, જે આંગણામાં બાળકો મોટા થયા અને જે મકાન ખરીદવા માટે મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની આખી જિંદગીની મૂડી લગાવી દીધી, તે જ મકાન આજે તેમના માટે ‘જોખમી’ બની ગયા છે. સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે આજે સમય જાણે થંભી ગયો છે. બાજુમાં ચાલી રહેલા ‘બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટ’ રાજલક્ષ્મી બિલ્ડરના ખોદાણને કારણે 17 ડિસેમ્બરે સર્જાયેલી દુર્ઘટનાના બીજા દિવસે પણ અહીં રુદન અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. શિવ રેસિડેન્સીના ચાર ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવતા બાળકો-વૃદ્ધો સહિત 400થી વધુ લોકોની હાલત અત્યંત દયનીય બની છે. રહીશો રડતી આંખે પોતાનો કિંમતી સામાન અને ઘરવખરી લઈને બહાર નીકળી રહ્યા છે, જ્યારે પાલિકાના ગાર્ડ્સ દ્વારા બિલ્ડિંગને કડક સુરક્ષા વચ્ચે કોર્ડન કરી દેવામાં આવી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા માટે જે હેલ્પલાઈન નંબરો આપવામાં આવ્યા છે, તે નંબરો પર રહીશો સતત ફોન કરી રહ્યા છે, પરંતુ બિલ્ડરના માણસો ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી. આ બેદરકારીને કારણે અનેક પરિવારો નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર અથવા હોટેલમાં આશરો લેવા મજબૂર બન્યા છે. જોખમી બાંધકામ અને ભયના ઓથાર હેઠળ રહીશો15 વર્ષથી જે મકાનમાં આશરો લીધો હતો તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની અણી પર છે. નિર્માણધીન પ્રોજેક્ટમાં હજુ પણ પાણીનું લેવલ વધારે હોવાથી બાજુના ટાવરના રહીશોના જીવ અધ્ધર થઈ ગયા છે. સ્થાનિક રહીશ પિયુષભાઈના જણાવ્યા અનુસાર, સોસાયટી માત્ર એક બાજુથી નહીં પણ બંને બાજુથી જોખમમાં છે, કારણ કે બિલ્ડિંગની બીજી તરફ પણ સમાંતર બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે આખું સ્ટ્રક્ચર સંકટમાં મુકાયું છે. રીમઝીમ જૈન જેવા અનેક મધ્યમવર્ગીય લોકો, જેમણે પોતાની જીવનભરની કમાણી આ મકાન પાછળ ખર્ચી નાખી છે, તેઓ આજે બિલ્ડરની લાપરવાહી અને તંત્રની નિષ્ક્રિયતા સામે લાચાર બનીને રડી રહ્યા છે. પોતાના જ ઘરમાં પ્રવેશ માટે મંજૂરી લેવા મજબૂરશિવ રેસિડેન્સીના ચાર ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી કરાવવાની નોટિસ મળતા જ રહીશોની હાલત કફોડી થઈ ગઈ છે. સતત બીજા દિવસે પણ લોકો પોતાની જીવનજરૂરિયાતની વસ્તુઓ, થોડાક કપડાં અને કિંમતી સામાન થેલામાં ભરીને ડૂસકાં ભરતા ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. પાલિકાએ સલામતીના ભાગરૂપે આ ટાવરોને કોર્ડન કરી સીલ મારી દીધું છે અને ત્યાં ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોતાના જ ઘરમાં પ્રવેશવા માટે આજે આ લોકોને મંજૂરી લેવી પડી રહી છે. ગેસ અને વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી અને અમુક ટાવરમાં બંધ કરાયેલી સુવિધાઓને કારણે લોકોની હાલાકી વધી છે. મારા પતિને પોલિયો છે, ત્રણ ઓપરેશન થયા છેઃ રીમઝીમ જૈનદુર્ઘટનાનો ભોગ બનેલા રીમઝીમ જૈને આંખમાં આંસુ સાથે પોતાની વેદના વર્ણવતા જણાવ્યું કે, 15 વર્ષ પહેલા ઘણાી આશાએ સાથે આ ઘર લીધું હતું. મારો ફ્લેટ બરાબર એ જ બાજુ છે, જ્યાં જમીન ધસી પડી છે. મારો આખો સંસાર આ ઘરમાં છે. મારા પતિને પોલિયો છે, ત્રણ ઓપરેશન થયા છે, તેઓ ચાલી શકતા નથી. અત્યારે તેમની પાસે નોકરી પણ નથી. અમારો કોઈ સંબંધી પણ આ શહેરમાં નથી, અમે ક્યાં જઈએ? મકાન સીલ કરી દીધું છે, અમારી આખી જિંદગીની કમાણી આમાં જતી રહી. નાની બાળકી સાથે રઝળી રહ્યા છીએઃ રાધિકાઅન્ય રહીશ પ્રિયંકાએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, અમે માત્ર બે જોડી કપડાં લઈને નીકળ્યા છીએ. બાળકોને હોટેલથી સ્કૂલ મોકલવા પડે છે. ઘરનો બધો જ સામાન અંદર છે. ગેસ-પાણી બંધ છે, આ સ્થિતિમાં જીવન કેવી રીતે જીવવું? વધુમાં 5 મહિનાની નાની બાળકીની માતા રાધિકાએ જણાવ્યું કે, બિલ્ડરે રહેવા માટે રૂમ આપ્યા છે, પણ ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નથી. નાની બાળકી સાથે રઝળી રહ્યા છીએ. 15 ફૂટે પાણી હોવા છતાં બિલ્ડરે ખોદકામ ચાલુ રાખ્યુંઘટનાની વિગતો મુજબ, બાજુમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં ત્રણ લેયરનું બેઝમેન્ટ બનાવવા માટે સતત ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માત્ર 15 ફૂટ પર પાણી આવી ગયું હોવા છતાં બિલ્ડર દ્વારા કામ અટકાવવામાં આવ્યું નહોતું. 24 કલાક 9 જેટલી પાઈપો દ્વારા પાણી ઉલેચવામાં આવતું હતું, જેના કારણે જમીન અંદરથી પોલી થઈ ગઈ હતી. પરિણામે, ડી-વોલમાં ભંગાણ પડતા શિવ રેસિડેન્સીની કમ્પાઉન્ડ વોલ પત્તાના મહેલની જેમ ધસી પડી હતી. બિલ્ડર દ્વારા આપવામાં આવેલા હેલ્પલાઈન નંબરો પણ હવે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે, કારણ કે રહીશોના ફોન કોઈ ઉઠાવતું નથી. ચારના લાયસન્સ સસ્પેન્ડ, 7 તજજ્ઞોની તપાસદુર્ઘટનાની ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકાએ આકરા પગલાં લીધા છે. ડેવલપર તુષાર પોપટલાલ રીબડીયા, આર્કિટેક્ટ સુરેશકુમાર મોડિયા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર જલીલ શેખ અને ક્લાર્ક-સુપરવાઈઝર તેજસ જસાણીના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર બિલ્ડિંગની સ્ટેબિલિટી તપાસવા માટે સાત તજજ્ઞોની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે રિપોર્ટ સોંપશે. લોકોની ફરિયાદ બાદ પણ તંત્ર ઊંઘતું રહ્યુંસ્થાનિક રહીશ પિયુએ સવાલ ઉઠાવ્યો છે કે, આસપાસના વિસ્તારમાં ચારેબાજુ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. જ્યારે રહીશોએ અગાઉ પાલિકામાં આ જોખમી ખોદકામ બાબતે ફરિયાદો કરી હતી, ત્યારે તંત્ર કેમ ઊંઘતું રહ્યું? બિલ્ડર અને મહાનગરપાલિકાની મિલીભગત અથવા બેદરકારીનો ભોગ આજે 400 પરિવારો બની રહ્યા છે. હાલ તો આ 400 પરિવારો માટે પોતાના જ 'ઘર' પારકા થઈ ગયા છે. કોઈ સંબંધીને ત્યાં તો કોઈ હોટેલમાં આશરો લઈ રહ્યા છે. આ પરિવારોની એક જ માગ છે કે, તેમને ન્યાય મળે અને તેમના વર્ષોના સપનાના ઘર સુરક્ષિત રીતે તેમને પાછા મળે.
SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા જિલ્લાભરમાં ‘ઓપરેશન ગોગો સ્મોકિંગ’ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 198 શંકાસ્પદ સ્થળોએ ચેકિંગ કરાયું હતું. 14 પાન પાર્લર અને સ્ટોર્સ પરથી નશીલા સેવનના સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે SOG ટીમે સમગ્ર જિલ્લામાં ‘ઓપરેશન ગોગો સ્મોકિંગ’ અંતર્ગત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા પાન પાર્લર, મેડિકલ સ્ટોર્સ, ચાની કીટલીઓ તેમજ કરિયાણાના સ્ટોર સહિત કુલ 198 સ્થળો પર ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કુલ 14 સ્થળો પરથી વાંધાજનક અને નશીલા સેવન માટે ઉપયોગમાં લેવાતા પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ખાસ કરીને ગોગા સ્મોકિંગ રોલ્સ, ફિલ્ટર રોલિંગ પેપર્સ અને અન્ય નશીલા કેફી પદાર્થોના સેવન માટે વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે. SOG ની ટીમે આ તમામ પ્રતિબંધિત સામગ્રી કબ્જે કરી જવાબદાર સંચાલકો સામે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રાખી નશાના કારોબાર સાથે જોડાયેલા નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર નાયબ કલેક્ટરની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં રૂ. 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કોલસાની ખાણમાંથી 9 મજૂરોને બચાવવામાં આવ્યા હતા. થાનગઢ અને મુળી તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનનને નાબૂદ કરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ એક વોટ્સએપ નંબર જાહેર કર્યો હતો. આ નંબર પર નાગરિકો તરફથી અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસાની ખાણ ચાલુ હોવા અને રાત્રે મોટા પ્રમાણમાં વિસ્ફોટક ધડાકા થતા હોવાની ફરિયાદ મળી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને, 18 ડિસેમ્બર, 2025 ના રોજ મોડી રાત્રે 12:45 કલાકે નાયબ કલેક્ટર ચોટીલા અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર ગામના ખાનગી માલિકી સર્વે નંબર 11 ની જમીન પર આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ગેરકાયદેસર કોલસા ખનન કરતા નીચે મુજબના વાહનો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો: બે ટ્રેક્ટર, એક મિની ટ્રેક્ટર, એક કમ્પ્રેશન મશીન, એક ચરખી, ચાર બકેટ અને 19 નંગ સુપર પાવર નાઈટિ વિસ્ફોટક. કુલ રૂ. 17,30,000/- નો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલ પૈકીનું મિની ટ્રેક્ટર કોલસાના કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ સાથે, કોલસાની ખાણમાં ફસાયેલા 9 મજૂરોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરનારા ઇસમોમાં જમીનના કબજેદાર ગોરધનભાઈ છનાભાઈ ઝેઝરીયા (રહે. અભેપર, તા. થાનગઢ) અને કોન્ટ્રાક્ટર જયેશભાઈ સવશીભાઈ મકવાણા (રહે. દેવપરા (આ), તા. થાનગઢ) નો સમાવેશ થાય છે. આ તમામ ઇસમો તેમજ વાહન માલિકો સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017) મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અભેપર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પણ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભુજ શહેરમાં ટ્રાફિક પોલીસે એસટી બસ સ્ટેશન અને બજાર વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરી છે. ટ્રાફિકને અડચણરૂપ વાહનોને હટાવી દંડ વસૂલવામાં આવ્યો હતો, જેથી વાહનવ્યવહાર સરળ બની શકે. આ ઝુંબેશ ગુરુવારે સવારથી ટ્રાફિક પીએસઆઈ ટી.બી. રબારીની રાહબરી હેઠળ શરૂ કરવામાં આવી હતી. સિટી ટ્રાફિક પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ અને બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનો સામે પણ કડક પગલાં લેવાયા હતા. ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને વાહનચાલકોને સરળ અવરજવર મળી રહે તે આ કામગીરીનો મુખ્ય હેતુ છે. સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસની આ પહેલને આવકારી છે.

29 C